SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

ગુજરાત પોલીસમાં વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ ભરતી:1328 અરજીઓ રદ્દ, 878 ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યાં!

રાજ્ય પોલીસ ભરતી પ્રક્રિયામાં ફરી એક વખત સખતાઈ જોવા મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વિવિધ પોસ્ટ માટે આવેલી કુલ 1328 અરજીઓ રદ્દ કરવામાં આવી છે. તેમાં ફી ન ભરવાના અને એકથી વધુ અરજી કરવાના કેસો મુખ્ય કારણ તરીકે સામે આવ્યા છે. ભરતી બોર્ડના જણાવ્યા મુજબ 450 અરજીઓ ફી ન ભરવાના કારણે રદ્દ કરવામાં આવી છે, જ્યારે 878 અરજીઓ એકથી વધુ ફોર્મ ભરવાના કારણે નામંજૂર કરવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનુસાર કામગીરી જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફી ભર્યા વગરની અરજીઓનું વર્ગીકરણ: ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેક્નિકલ ઓપરેટર માટે સૌથી વધુ અરજીઓ રદ્દ થઈ છે, જે દર્શાવે છે કે ઉમેદવારોમાં આ પોસ્ટ માટે ભારે સ્પર્ધા છે. ભરતી બોર્ડે ઉમેદવારોને સૂચના આપી છે કે, તેઓ અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચે અને નિયમોનું પાલન કરે. આગામી તબક્કાની પરીક્ષા માટે માન્ય અરજીઓ જ સ્વીકારવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:05 am

'કોઈ એવી દવા આપો કે મારા મિત્રને પ્રપોઝ કરી શકુ':પીંપલ્સે તો યુવતીને પરેશાન જ કરી દીધી, વાંચો વેલેન્ટાઈન વીકમાં બનેલા સોશિયલ ફોબિયાના રોચક કિસ્સાઓ

આગામી વેલેન્ટાઈન ડેને લઈને યુવાનોમાં ભરપૂર ઉત્સાહ છે, હાલમાં એક પછી એક ડે ચાલી રહ્યા છે ત્યારે યુવાધન આ દિવસોને ઉત્સવની જેમ ઊજવી રહ્યું છે અને પોતાના મનગમતા પાત્રને પોતાની લાગણીઓ જણાવીને તેને જીવનસાથી બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવે છે. જોકે, આ દિવસો અજાણતા જ યુવાનોને એક એવી માનસિક બીમારીનો શિકાર બનાવી દે છે કે, જેનાથી અમુક દર્દીઓ તો અજાણ હોય છે. જો આ બીમારીના લક્ષણોને ઓળખીને તેનો તાત્કાલિક ઈલાજ ન કરવામાં આવે તો તે તમારો વેલેન્ટાઈન ડે બગાડી શકે છે. વડોદરાની SSG હોસ્પિટલમાં આવેલી મેડિકલ કોલેજના માનસિક રોગ વિભાગના એસો.પ્રોફેસર તરીકે ડૉ. ચિરાગ બારોટે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી વેલેન્ટાઈન વીકમાં યુવાઓમાં જોવા મળતી એક માનસિક બીમારી વિશે જણાવ્યું. આ બીમારીનું નામ છે સોશિયલ ફોબિયા. એકાએક બેચેની અને તણાવનો અનુભવ થવા લાગે છેડૉક્ટરે આ બીમારીની ગંભીરતા સમજાવતા કહ્યું કે, જે કોઈ યુવક-યુવતી આ બીમારીથી પીડિત હોય તે પોતાની વાત અન્ય કોઈ વ્યક્તિની સામે કહી શકતો નથી. એકાએક તેને બેચેની અને તણાવનો અનુભવ થવા લાગે છે, જેના કારણે તેને પરસેવો વળી જાય છે. પોતાની વાત કહેવા માટે તે અંદર ન અંદર ઘૂંટાયા રાખે છે અને પરિણામે તણાવમાં અણધાર્યું પગલું લેવા માટે પણ પ્રેરાય છે. બે-ત્રણ વ્યક્તિ સાથે બેઠેલા હોય ત્યારે મારી જીભ સીવાય જાય છેઆ બીમારીને વધુ સારી રીતે સમજાવવા માટે તે પોતાની હોસ્પિટલમાં આવેલા એક દર્દીનો કિસ્સો શેર કરતાં જણાવે છે કે, અમારા વિભાગમાં હાલ થોડા દિવસો પહેલા એક યુવક દર્દી આવ્યો. તેણે આવીને મને કહ્યું કે, મને સોશિયલ એન્કઝાઇટી રહે છે એટલે કે બે-ત્રણ વ્યક્તિ સાથે બેઠેલા હોય ત્યારે કંઈ પણ વાત કરવી તેના માટે મુશ્કેલ બની જાય છે. મારી જીભ સીવાય જાય છે, હું જે કહેવા માગુ છુ તે કહી નથી શકતો. કોઈ એવું ડ્રગ આપો ને કે હું નીડરતાથી મારી વાત શેર કરી શકુ. મારી જાતને એક્સપ્રેસ કરી શકુ. મારા મનમાં જે છે એ હું કહી શકુ. સામેની વ્યક્તિને સમજી શકુ. સોશિયલ એન્કઝાઇટી વેલેન્ટાઈન ડે માટે વિઘ્નડૉક્ટરે કહ્યું- તેની વાતો થોડીવાર સાંભળ્યા બાદ એવું અનુમાન નીકળ્યું કે, તે તેની કોઈ મિત્રને આ વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ કરવા માગે છે પણ તે વાત કરવા માટે ખૂબ જ ગભરાય છે. સોશિયલ એન્કઝાઇટીના કારણે તે પોતાની ફિલિંગ્સ શેર ન કરી શકે, આ બીમારી તેની લાગણીઓને વ્યક્ત કરવામાં નડતરરુપ બની શકે છે. આ કારણોસર તે પોતાની આ બીમારી સામે લડવા માટે અને તેને દૂર કરવા માટે તે મારી મદદ માટે હોસ્પિટલ આવ્યો હતો. સોશિયલ ફોબિયાના અઠવાડિયામાં પાંચ-છ દર્દીઓ લે છે હોસ્પિટલની મુલાકાતઆગામી દિવસોમાં વેલેન્ટાઈન આવે છે ત્યારે આવા સમયે યુવાઓમાં સોશિયલ એંગ્ઝાઇટીનું હાવી થવું સામાન્ય છે. આ એક કોમન બીમારી છે તેને આપણે સોશિયલ ફોબિયા પણ કહીએ છીએ. આવા કિસ્સામાં યુવકો અહીંયા આવે તે પહેલા ક્યારેક અંદર-અંદર આ બાબતનું નિરાકરણ સાહજિકતાથી લાવી દેતા હોય છે. આવા ઘણા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે. જેમાં રોજિંદા જીવનમાં લોકો સાથે કામ કરવાનું હોય, લેક્ચર આપવાનું હોય,પ્રેઝન્ટેશન અને ખાસ કરીને અઠવાડિયાના પાંચ-છ દર્દીઓ એવરેજ માટે ત્યાં આવતા હોય છે. 'તું તારા પેરેન્ટ્સને બોલાવીને આવ'પોતાની વાતને આગળ વધારતાં ડૉક્ટરે કહ્યું કે, જ્યારે પણ આવો કોઈ એકલો યુવક કે યુવતી આવે ત્યારે અમારી પ્રાથમિકતા એ જ હોય છે કે, તું તારા પેરેન્ટ્સને બોલાવીને આવ કારણ કે, માતા-પિતાને પણ ખબર હોવી જોઈએ કે, મારા દીકરા કે દીકરીને આ પ્રકારની સમસ્યા છે. તો એ લોકો પણ ઘરે એ સમસ્યા પર કામ કરી શકે એટલે સૌથી પ્રથમ અમે એ જ કહેતા હોઈએ છીએ કે, તું તારા ઘરમાં જેની જોડે રહેતો હોય તેઓને લઈને આવ જેથી અમને વધારે ખબર પડે અને અમે પણ એમને જણાવી શકીએ કે તમારા દીકરા કે દીકરીને આ પ્રકારની તકલીફ છે, તો એ આગળ જતાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. બધા મિત્રો એકબીજાને ગિફ્ટ આપશે અને તેનું શું થશે?આ સાથે જ અન્ય એક કિસ્સો શેર કરતા ડૉ. ચિરાગે જણાવ્યું કે, લગભગ 10 દિવસ પહેલાં એક યુવતી તેમની પાસે આવી હતી. વેલેન્ટાઈન વીક શરૂ થવાની શરૂઆતમાં તે ખૂબ જ બેચેન હતી. તેના ગાલ પર પિંપલ્સની સમસ્યા વધુ હોવાને કારણે તેને લાગતું હતું કે, તે સારી દેખાતી નથી અને અન્ય છોકરીઓની તુલનામાં તે ઓછી આકર્ષક લાગે છે. તેણે ચિંતા વ્યક્ત કરી હતી કે, મારા મિત્ર મારી સાથે વાત જ નહીં કરે. આ સ્થિતિમાં તેને ડિપ્રેશન, વારંવાર નકારાત્મક વિચારો અને ભારે એંગ્ઝાઇટીનો અનુભવ થતો હતો. વેલેન્ટાઈન ડે નજીક આવતાં તેને એવું લાગતું હતું કે, બધા મિત્રો એકબીજાને ગિફ્ટ આપશે અને તેનું શું થશે તે વિચારે તે બેચેન રહેતી હતી. આ બધાને કારણે તેનું ભણવામાં ધ્યાન જતું ન હતું, માતા-પિતા પર અવારનવાર ગુસ્સો કરતી હતી અને ભૂખ પણ ઓછી લાગતી હતી. આવી સ્થિતિમાં તેને કાઉન્સેલિંગ કરીને યોગ્ય દવાઓ આપવામાં આવી છે. ભારતમાં 65 લાખથી વધુ લોકો સોશિયલ એંગ્ઝાઇટી ડિસઓર્ડર થી પીડાય છેરાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સર્વે (NMHS), 2016 મુજબ, ભારતમાં 65 લાખથી વધુ લોકો સોશિયલ એંગ્ઝાઇટી ડિસઓર્ડર (SAD) થી પીડાય છે. રિપોર્ટ અનુસાર, મહિલાઓ કરતાં પુરુષોમાં આ જોખમ વધુ છે. જોકે, ભારતમાં આ અંગે હજુ વધુ અભ્યાસની જરૂર છે. આ ઉત્સવનો માહોલ અમુક યુવાઓ માટે પ્રેમ વ્યક્ત કરવાની તકને બદલે ભય અને બેચેનીનું કારણ પણ બની રહ્યો છે ત્યારે જો તમે પણ જો સોશિયલ ફોબિયાથી પીડાઈ રહ્યા હો તો તાત્કાલિક તમારા માતા-પિતા, મિત્રો કે ડૉક્ટરનો સંપર્ક કરો અને યોગ્ય ઈલાજ કરાવો. સોશિયલ એંગ્ઝાઇટીની સારવારસોશિયલ એંગ્ઝાઇટી ઘણીવાર ખૂબ જ સામાન્ય સ્થિતિ માનવામાં આવે છે, પરંતુ તે પડકારજનક હોઈ શકે છે. જોકે, યોગ્ય સારવાર, સકારાત્મક વિચારસરણી અને નિયમિત કસરત દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. આ માટે, તમારામાં વિશ્વાસ રાખો અને યાદ રાખો કે દરેક નાની સફળતા એક મોટી જીત છે. જો તમને લાગે કે તમે તેને જાતે મેનેજ કરી શકતા નથી, તો તમે પ્રોફેશનલની મદદ પણ લઈ શકો છો. પ્રોફેશનલ્સ આ માટે કેટલીક ઉપચાર પદ્ધતિઓ તમને જણાવી શકે છે. તે સોશિયલ એંગ્ઝાઇટીનાં લક્ષણો ઘટાડી શકે છે. નીચેના મુદ્દાઓથી આ બાબત સમજો- કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી (CBT)આ ઉપચાર વ્યક્તિને નકારાત્મક માન્યતાઓને ઓળખવામાં અને તેને દૂર કરવામાં મદદ કરે છે. આ મેન્ટલ હેલ્થ પ્રોફેશન્લ્સ દ્વારા આપવામાં આવતી ટોક થેરાપી છે. આમાં, વ્યક્તિને સકારાત્મક રહેવાનું શીખવવામાં આવે છે. એક્સપોઝર થેરાપીઆ એક મનોવૈજ્ઞાનિક ઉપચાર પણ છે. આમાં, વ્યક્તિને ધીમે ધીમે તે સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેનો તે ડર રાખે છે. આ થેરેપી ભય ઘટાડવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. રેલેક્સેશન થેરાપીતમે આ ઉપચાર જાતે પણ લઈ શકો છો. આમાં, જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક ચિંતાની પરિસ્થિતિમાં નર્વસ અનુભવે છે ત્યારે ઊંડા અથવા લાંબા શ્વાસ લેવા પડે છે. ઊંડા શ્વાસ લેવાથી મન શાંત થાય છે. આ ચિંતા ઘટાડે છે. મેડિસિનલ થેરાપીઆમાં, મનોચિકિત્સક દર્દીની સ્થિતિના આધારે કેટલીક દવાઓ આપે છે. આ દવાઓ સોશિયલ એંગ્ઝાઇટી લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, સોશિયલ એંગ્ઝાઇટીનાં લક્ષણો ઘટાડવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો પણ જરૂરી છે. જેમ કે-

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:05 am

દીકરીને કેનેડા ભણાવવાની લાલચ આપી પરીણિતા પર બે ભાઇનું દુષ્કર્મ:જો કોર્ટ કેસ પરત નહી ખેંચે તો તારો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી, પરીણીતાની દીકરી સાથે પણ શારીરિક અપડલા કર્યા

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી પરીણિતાને તેમની દીકરીને કેનેડો ખાતે ભણાવવાની લાલચ આપીને તેની દુષ્કર્મ આચર્યું હતું. જેમાં અન્ય આરોપીઓ તેનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ બ્લેક મેલ કરીને ફરી દુષ્કર્મ ગુજારવા સાથે તેમની દીકરી સાથે શારીરિક અડપલા કરાયાં હતા હોવાના આક્ષેપ કરાયાં છે. જો કરેલા કોર્ટ કેસ પાછા નહી ખેંચે તો વીડિયો વાઇરલ કરી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી અન્યની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આર વી દેસાઇ રોડ પર પરીણીતાને જ્યોત્સના બાહુબલ શાહ, મેહુલ શાહ, કાજલ જલ્પેશ શાહ, ચૈતાલી મેહુલ શાહ, હિમેશ કહાર ઘર જેવા સંબંધ હતા. જેથી તેઓ એકબીજાના ઘરે અવર જવર કરતા હતા. જેના કારણે તેમના સંબંધ ઘણા ઘાઢ થઇ ગયાં હતા. દરમિયાન જ્યોત્સના શાહ યુવતીને પોતાના દીકરાની વહુ બનાવવા માટે માંગતી હતી. જેથી વારંવાર આ બાબતે યુવતીને કહ્યું હતું. ત્યારબાદ યુવતીની દીકરીને કેનેડા ખાતે ભણાવવા માટેની લાલચ આપીને મહુલ શાહે પ્રથમવાર વર્ષ 2022માં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યાં હતા. જ્યારે અન્ય આરોપીઓ દ્વારા છુપા કેમેરાથી તેમનો વીડિયો ઉતારી લીધી હતો. ત્યારબાદ આરોપીઓએ યુવતીને બ્લેક મેલ કરવાની શરૂઆત કરી હતી. જેમાં આરોપીઓ પૈકીના જલ્પેશ શાહ વર્ષ 2025માં યુવતીને તેના ઘરે લઇને જઇને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને યુવતીને દીકરી સાથે પણ શારીરિક અપડલા કર્યાનો ભોગ બનનારે આક્ષેપ કર્યો છે. આરોપીઓ રૂપિયા લેતીદેતી મામલે જે કોર્ટમાં ચાલતા કેસો પાછા લેવા માટે ધમકી આપી હતી. જો કેસ પાછા નહી ખેચી લે તો તારો વીડિયો વાઇરલ કરી નાખશે તેવી ધમકી પણ આપવામાં આવી છે. જેથી યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ્યોત્સના બાહુબલ શાહ, મેહુલ શાહ, કાજલ જલ્પેશ શાહ, ચૈતાલી મેહુલ શાહ, હિમેશ કહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓ પૈકીના હિમેશ કહારની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:35 pm

10 મહિનાના લાંબા મંથન બાદ સુરત ભાજપ-સંગઠનનું નવું માળખું જાહેર:ઉપપ્રમુખ અને મંત્રી પદની વરણીમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી કાર્યકરોનું વર્ચસ્વ

સુરત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂકને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો શુક્રવારે સાંજે અંત આવ્યો છે. ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા સુરત શહેર એકમના નવા હોદ્દેદારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. શહેર પ્રમુખની જાહેરાત બાદ છેલ્લા દસ મહિનાથી ચાલી રહેલા વિચાર-વિમર્શ અને સેન્સ પ્રક્રિયા બાદ આ નવી ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં અનુભવી અને નવા ચહેરાઓનો સમન્વય જોવા મળ્યો છે. સંગઠનમાં જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણો પર વિશેષ ભાર મુકાયોઆગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વખતે સંગઠનમાં જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નવી ટીમમાં તમામ જૂથોને સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ વિવાદોમાં રહેલા કેટલાક જૂના નામોને પડતા મૂકીને નવા અને સક્રિય કાર્યકરોને તક આપવામાં આવી છે. ભાજપનું આ નવું માળખું ચૂંટણીના મિશન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. મહામંત્રી પદ માટે કરસન ગોંડલિયા, વિરલ ગીલીટવાલા અને દુર્ગા પ્રસાદ પાંડેસંગઠનમાં સૌથી પાવરફુલ ગણાતા મહામંત્રી પદ માટે કરસન ગોંડલિયા, વિરલ ગીલીટવાલા અને દુર્ગા પ્રસાદ પાંડેના નામ જાહેર કરવામાં આવ્યા છે. કરસન ગોંડલિયા અગાઉ પ્રદેશ કારોબારીમાં પણ રહી ચૂક્યા છે, જ્યારે વિરલ ગીલીટવાલાના માધ્યમથી મૂળ સુરતી કાર્યકરોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરપ્રાંતીય સમાજના મતોને ધ્યાને રાખીને દુર્ગા રમાશંકર પાંડેને પણ આ મહત્વની જવાબદારી સોંપાઈ છે. ઉપપ્રમુખ અને મંત્રીઓમાં યુવા અને મહિલાઓને પ્રાધાન્યઉપપ્રમુખ પદ પર મુકેશ દેસાઈ, સાધના રાવલ, પરેશ મોરડિયા અને સચિન પાટીલ સહિતના ૮ આગેવાનોની વરણી કરવામાં આવી છે. તેવી જ રીતે મંત્રી પદ માટે અમરીશ રામાણી, રોનક ધ્રુવ અને શીતલબેન પટેલ જેવા યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપી સંગઠનમાં નવી ઉર્જા ફૂંકવાનો પ્રયાસ થયો છે. કોષાધ્યક્ષ તરીકે શૈલેષ જરીવાલાને યથાવત રાખવામાં આવ્યા છે, જે તેમની નિષ્ઠા અને કામગીરી પર પક્ષનો વિશ્વાસ દર્શાવે છે. તમામ મોરચાની એકસાથે જાહેરાત કરી ભાજપે સૌને ચોંકાવ્યાસામાન્ય રીતે ભાજપમાં મુખ્ય સંગઠન બાદ મોરચાઓની જાહેરાત થતી હોય છે, પરંતુ આ વખતે ઈતિહાસમાં પ્રથમવાર મહામંત્રીઓની સાથે જ તમામ મોરચાઓના હોદ્દેદારોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં આ નવી ટીમને લઈને હાલ ભારે ચર્ચા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 10:50 pm

શિક્ષણ વિભાગની કોર્ટના આદેશ અંગે સ્પષ્ટતા:સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માત્ર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સર્વે, કૂતરા ગણવાનો કોઈ આદેશ નથી

રાજ્યના જુદા-જુદા વર્તમાનપત્રો/ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રસિદ્ધ થયેલ “સરકાર હવે શિક્ષક પાસે રખડતા કૂતરા પણ ગણાવશે” શીર્ષકવાળા સમાચાર અંગે શિક્ષણ વિભાગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશના પરિપ્રેક્ષ્યમાં માત્ર વિદ્યાર્થીઓ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે, કૂતરાઓને ‘ગણવા’ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા સંસ્થાકીય વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમતગમત સંકુલો, બસ સ્ટેન્ડ/ડેપો અને રેલવે સ્ટેશનોમાં કૂતરાના હુમલાના વધતા બનાવોને ધ્યાનમાં લઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેમાં પરિસરમાં ફેન્સિંગ, બાઉન્ડરી વોલ, ગેટ્સ જેવી સુવિધાઓ ઊભી કરી રખડતા કૂતરાઓના પ્રવેશને અટકાવવા અને એક નોડલ અધિકારી નિયુક્ત કરવાની બાબતનો સમાવેશ થાય છે. Animal Welfare Board of India ને પણ બે અઠવાડિયામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી સમગ્ર દેશમાં એકસરખી માર્ગદર્શિકા અમલમાં આવે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોર્ટના આદેશ મુજબ વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને તે માટે માળખાકીય તેમજ વહીવટી પગલાં લેવામાં આવશે. ભ્રામક અર્થઘટનથી ગેરસમજ ફેલાય નહીં તે માટે વિભાગે અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 10:29 pm

'માંગવાની રીત અલગ હતી ઈરાદો ખોટો ન હતો':એસ.ટી. ડેપોના લોકાર્પણ પ્રસંગે સાવલીના MLAનું મંત્રી સમક્ષ નિવેદન, મારી પ્રજા માટે સમાધાન કરી શકતો નથી એ મારો વીક પોઈન્ટ

વડોદરા જિલ્લાના સાવલી ખાતે નવનિર્મિત એસ.ટી. ડેપોનું લોકાર્પણ આજે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે જાહેર મંચ પરથી પોતાની રજૂઆતની શૈલી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મારા મતદારો માટે મારી માંગણીની શૈલી અલગ હોઈ શકે છે, પરંતુ મારો ઈરાદો ક્યારેય ખરાબ નહોતો. તેમણે વિકાસના કાર્યો અને સરકારની કામગીરી પર ભાર મૂકતાં જણાવ્યું કે, સ્વામીજીની અસીમ કૃપા અને વિસ્તારના નાગરિકોના સતત આશીર્વાદને કારણે જ સાવલીમાં પાયાની સુવિધાઓ અને વિકાસના કામો શક્ય બન્યા છે. મારી પ્રજાના હિત માટે હું ક્યારેય સમાધાન કરી શકતો નથીકાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદારે છેલ્લા 13 વર્ષના શાસનકાળ દરમિયાન સાવલી બેઠક પર થયેલા પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર સાડા છ કરોડ જનતાની ચિંતા કરતી સરકાર છે અને તે જ ભાવના સાથે અહીંના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમણે ભાજપ સરકારનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું કે, જ્યારે વિસ્તારના વિકાસની વાત આવે ત્યારે સમાધાનને કોઈ સ્થાન નથી. મારી પ્રજાના હિત માટે હું ક્યારેય સમાધાન કરી શકતો નથી અને કદાચ એ જ મારો વીક પોઈન્ટ છે. સાવલીના વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશેનવનિર્મિત એસ.ટી. ડેપોના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ સાવલીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા અને ખાતરી આપી હતી કે, આવનારા સમયમાં પણ સાવલીના વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમમાં વિસ્તારના નાગરિકો અને પદાધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ નવા ડેપોના નિર્માણથી સાવલી અને આસપાસના વિસ્તારોમાં એસ.ટી. સેવાઓ વધુ સુગમ અને વ્યવસ્થિત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 10:27 pm

કચ્છમાં રમતગમતનો મેગા પ્રોજેક્ટ:અદાણી ગ્રુપ કોટેશ્વરમાં ઊભી કરશે સ્પોર્ટ્સ યુનિવર્સિટી

ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે મોટું રોકાણ થવા જઈ રહ્યું છે. Adani Group દ્વારા કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવાની યોજના પર કામ શરૂ કરાયું છે. આ સંદર્ભે રાજેશ અદાણી એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રમતવીરોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે માટેના આયોજન પર વિચારણાઆ બેઠકમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રાથમિક ચર્ચામાં યુનિવર્સિટી માટે જરૂરી જમીન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ સુવિધાઓ અને રમતવીરોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે માટેના આયોજન પર વિચારણા કરવામાં આવી. ગુજરાતના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સશક્ત પ્લેટફોર્મ મળશેમળતી માહિતી મુજબ, પ્રસ્તાવિત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ રમતો માટે ખાસ અકાદમી, હાઇ-પરફોર્મન્સ સેન્ટર, સ્પોર્ટ્સ સાયન્સ અને રિસર્ચ સુવિધા, તેમજ ખેલાડીઓ માટે રહેઠાણ અને ટ્રેનિંગ કેમ્પસ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સશક્ત પ્લેટફોર્મ મળશે. રાજ્ય સરકાર અને અદાણી ગ્રુપ વચ્ચેની આ પહેલને કારણે કચ્છમાં રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે રમતગમત ક્ષેત્રે ગુજરાતની ઓળખ વધુ મજબૂત બનશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:49 pm

કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયાની ધરપકડ:એક જ સ્ટેમ્પ નંબર પર બે અલગ તારીખના સાટાખત, કરોડોની મિલકત હડપવા માસ્ટર પ્લાન બનાવ્યો'તો

સુરતના કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યો છે. વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના હીન કાવતરા બદલ સ્પેશિયલ ઇકોનોમિક સેલે તેની ધરપકડ કરી છે. વિનુ માલવિયા કોઈ સામાન્ય ગુનેગાર નથી, તેની વિરુદ્ધ અગાઉ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમીન પચાવી પાડવા અને બોગસ દસ્તાવેજો ઉભા કરવાના કુલ 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર જેલની હવા ખાધા હોવા છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા પોલીસે આ વખતે વેસુની જમીન મામલે કડક હાથે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. વેસુની કિંમતી જમીન હડપવાનું કાવતરું કર્યુંવેસુ ગામના બ્લોક/સર્વે નંબર 311/2 વાળી અંદાજે 16,200 ચોરસ મીટર જમીન, જે હાલ 'શ્રી સોમ રિયાલિટી' નામે ભાગીદારી પેઢીની માલિકીની છે, તેને પચાવી પાડવા માટે આરોપી વિનુ માલવિયા અને પ્રતુલ પટેલે મોટું ષડયંત્ર રચ્યું હતું. ફરિયાદી રાજેશકુમાર પટેલના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સરકારી રેકોર્ડ અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરી જમીન પચાવવા માટે અનેક બનાવટી પુરાવાઓ તૈયાર કર્યા હતા. આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવીને બોગસ લખાણો કર્યા હતાઆ વિવાદિત જમીન મૂળ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીનના અધિનિયમની કલમ 43 હેઠળ નવી શરતની હતી. કાયદેસર રીતે આવી જમીનના કોઈપણ સાટાખત કે વેચાણ કલેક્ટરની મંજૂરી વિના થઈ શકતા નથી. તેમ છતાં, આરોપી પ્રતુલ પટેલ અને વિનુ માલવિયાએ વર્ષ 2001ની જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી તેના પર બોગસ લખાણો કર્યા હતા. ફરિયાદીએ આ જમીન સરકારમાં પ્રીમિયમ ભરીને જૂની શરતમાં ફેરવી હોવા છતાં, આરોપીઓએ જમીન હડપવા માટે ખોટા સાટાખતોનો સહારો લીધો હતો. મૂળ જમીન માલિકોની બોગસ સહીઓ કરીઆરોપીઓએ સ્ટેમ્પ વેન્ડર પાસેથી મેળવેલા સ્ટેમ્પ નંબર 5062 વાળા એક જ સ્ટેમ્પ પેપર પર બે અલગ-અલગ તારીખના (16/08/2001 અને 26/05/2001) સાટાખત બનાવીને પોલીસ અને કોર્ટને ગેરમાર્ગે દોર્યા હતા. આ દસ્તાવેજોમાં મૂળ જમીન માલિકોની બોગસ સહીઓ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક પક્ષકારોની સહીઓ કોરા કાગળ પર મેળવી તેના પર પાછળથી લખાણ પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. વિનુ માલવિયાની આ મોડસ ઓપરેન્ડી અનેક જૂના કેસોમાં પણ જોવા મળી છે. સિવિલ કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કર્યાઆરોપીઓએ માત્ર બનાવટી દસ્તાવેજો જ નહોતા બનાવ્યા, પરંતુ સિવિલ કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં પણ ખોટા સોગંદનામા અને પુરાવા રજૂ કર્યા હતા. જમીન પચાવવાના હેતુથી આરોપીઓએ કોર્ટમાં પક્ષકારોની ગેરહાજરીમાં બોગસ સમાધાન પુરસીસ રજૂ કરી હુકમનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટ સાથે કરેલી આ ગંભીર છેતરપિંડી અને છેતરપીંડીના પુરાવાઓ ફરિયાદીએ રજૂ કરતા વિનુ માલવિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલે સ્પેશિયલ સેલ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. સોમ રિયાલિટીની કાયદેસરની માલિકી અને અવેજફરિયાદીની પેઢી 'શ્રી સોમ રિયાલિટી' એ આ જમીન મૂળ માલિકો પાસેથી અંદાજે 33.66 કરોડ રૂપિયા ચૂકવીને કાયદેસરના રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીનનો પ્રત્યક્ષ કબજો પણ પેઢી પાસે જ છે. આમ છતાં, વિનુ માલવિયાએ માત્ર 6 લાખ રૂપિયાના નજીવા અવેજવાળા અને નોટરી વગરના સાટાખત ઉભા કરીને કરોડોની આ જમીન પર દાવો માંડ્યો હતો. આરોપીઓએ રમેશ પટેલ નામના વ્યક્તિ પાસેથી જૂનો સ્ટેમ્પ મેળવીને વધુ એક બોગસ દસ્તાવેજ ઉભો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. સુરતના લેન્ડગ્રેબર વિનુ માલવિયાની ધરપકડવિનુ માલવિયાની છાપ સુરત શહેરમાં એક માથાભારે લેન્ડગ્રેબર તરીકેની છે. જમીન પચાવી પાડવા માટે કોઈપણ હદ સુધી જવાની તેની વૃત્તિને કારણે શહેરના જમીન કારોબારીઓમાં તેનો ફફડાટ જોવા મળતો હતો. 12 જેટલા ગુનાઓમાં સંડોવણી હોવા છતાં તે છટકબારીઓ શોધવામાં માહેર હતો, પરંતુ વેસુ જમીન કૌભાંડમાં મજબૂત પુરાવાઓ મળતા પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કાર્યવાહીથી જમીન માફિયાઓમાં સ્પષ્ટ સંદેશ ગયો છે. સ્પેશિયલ ઇકોનોમિક સેલ આગામી તપાસ કરશેહાલમાં વિનુ માલવિયાની ધરપકડ બાદ પોલીસ તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી રહી છે. તપાસ દરમિયાન આ કૌભાંડમાં કયા કયા સફેદ કોલર લોકો સામેલ છે તેની વિગતો પણ બહાર આવી શકે છે. સ્ટેમ્પ વેન્ડર અને નોટરીની ભૂમિકાની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ જમીન માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે, જેના ભાગરૂપે આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:46 pm

નિકોલ, વસ્ત્રાલ, ઘાટલોડિયા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ગાર્ડન બનશે:AMCએ 15ના ટેન્ડર બહાર પાડયા, ઝાડને નુકસાન થાય તેવી ફૂટપાથની કામગીરી

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે 66 જેટલા નવા ગાર્ડન બનાવવામાં આવશે. આગામી બે વર્ષમાં નવા ગાર્ડન બનીને તૈયાર થઈ જશે જેના માટેનું આયોજન અત્યારથી કરી દેવામાં આવ્યું છે. 23 ગાર્ડનોની મંજૂરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપી દેવામાં આવી છે. જેમાં 15 ગાર્ડન માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે. શહેરના પર્યાવરણને સુધારવા અને નાગરિકોને મનોરંજનના સ્થળો પૂરા પાડવા માટે એક મહત્વાકાંક્ષી આયોજન હાથધરાયું છે. 66.16 કરોડના ખર્ચે 15 ગાર્ડન માટે ટેન્ડર પ્રક્રિયા રિક્રીએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શહેરમાં નવા ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. કુલ 471407 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ગ્રીન કવર વધારવા ગાર્ડન વિભાગે પ્રાથમિક તબક્કે રૂપિયા 66.16 કરોડના ખર્ચે તૈયાર થનારા 15 ગાર્ડન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વસ્ત્રાલમાં અને નિકોલમાં 'વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન મુખ્ય આકર્ષણ બનશે. આ ઉપરાંત ચાંદલોડિયા, બાપુનગર, બોડકદેવ, ઘાટલોડિયા, ઈસનપુર, અસારવા અને ખાડિયા જેવા વિસ્તારોમાં પણ અદ્યતન સુવિધાઓ ધરાવતા ગાર્ડન બનશે. 32 રસ્તાઓ 'થીમેટિક રોડ' તરીકે વિકસાવાશેઆ ઉપરાંત શહેરમાં 32 રસ્તાઓને 'થીમેટિક રોડ' તરીકે વિકસાવાશે. સિંધુ ભવન રોડ, સાયન્સ સિટી રોડ અને એસ.જી. હાઈવે જેવા રસ્તાઓ પર ખાસ પ્રકારના ફુલ-છોડ અને વૃક્ષો જેમ કે ટેબુબિયા રોઝા અને ગુલમોહર લગાવીને તેને સુંદર બનાવવામાં આવશે. વધુમાં, શહેરના 27 તળાવોને પણ લેક ફ્રન્ટ તરીકે વિકસાવી ત્યાં ગાર્ડન વિભાગ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવશે. મેટ્રો રેલના પિલર નીચે પણ હરિયાળી જળવાઈ રહે તે માટે સ્પાઈડરલીલી, પાન્ડાંનસ અને સ્નેક પ્લાન્ટ જેવા વિવિધ છોડ લગાવવાની કામગીરીના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી છે. વૃક્ષો વાવવાની જાહેરાત અને કરોડો રૂપિયાનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર વધારવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવાની જાહેરાત અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જોકે શહેરમાં ફૂટપાથ બનાવવામાં ઇજનેર વિભાગ હયાત વૃક્ષોને જ સીમેન્ટ કોંક્રીટમાં ચણી લઇ તેને નુકસાન થાય તેવી સ્થિતિ નિર્માણ હોવા અંગેની રજૂઆત રીક્રિએશનલ કમિટીમાં કરવામાં આવી હતી. ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ મામલે સબંધીત ઝોનના અધિકારીઓને પણ સુચના આપવા આવી છે. 'ઝાડના થડને સીમેન્ટ કોંક્રીટથી જડી દેવાતાં વિકાસ અટકી જાય'ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું છે. કેટલીક જગ્યાએ ફુટપાથમાં નીચે સીમેન્ટ કોંક્રીટ પાથરવામાં આવે છે. જેને કારણે ઝાડના થડને પણ સજ્જડ રીતે આ સીમેન્ટ કોંક્રીટથી જડી દેવામાં આવે છે. જેને કારણે ઝાડનો વિકાસ અટકી જાય છે. આ સ્થિતિ નિરાકરણ માટે તેમજ ફુટપાથ બનાવતા કોઇપણ ઝાડની આસપાસ ચોક્કસ ગોળાકારમાં જગ્યા રાખવા માટે સુચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:39 pm

સુરત પાલિકાનો મોટો નિર્ણય:STP પ્રોજેક્ટના 520 કરોડના ટેન્ડરો રદ, હવે નવા 'સરકારી મોડેલ' મુજબ પ્રક્રિયા થશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ (STP)ના કામોમાં 'મોડેલ ટેન્ડર ડોક્યુમેન્ટ' (MTD) ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ આદેશના પગલે સુરત મહાનગરપાલિકાએ ત્વરિત નિર્ણય લેતા સરથાણા અને કનકપુર-કનસાડ વિસ્તારના અંદાજે ₹520 કરોડના બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટના ટેન્ડરો દફતરે ( રદ) કર્યા છે. સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે આ બંને પ્રોજેક્ટ માટે સરકારના નવા નિર્ધારિત માળખા મુજબ નવેસરથી ટેન્ડર મંગાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા લાવવાનો છે. શું છે 'મોડેલ ટેન્ડર ડોક્યુમેન્ટ' અને તેની વિશેષતા?ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મોડેલ ટેન્ડર ડોક્યુમેન્ટમાં રાષ્ટ્રીય સ્તરની માર્ગદર્શિકા અને અન્ય પ્રગતિશીલ રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સમન્વય કરવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) અને DBO (ડિઝાઇન, બિલ્ડ એન્ડ ઓપરેટ) મોડેલ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિ 'ઓપન ટેકનોલોજી' પર આધારિત છે, જેનાથી ટેન્ડર પ્રક્રિયામાં માત્ર સ્થાનિક નહીં પણ રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ વચ્ચે સ્પર્ધા વધશે અને પ્રોજેક્ટની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. એકરૂપતા અને પારદર્શિતા લાવવાનો મુખ્ય ઉદ્દેશ્યઅત્યાર સુધી અલગ-અલગ શહેરોમાં STP પ્રોજેક્ટ માટે ટેન્ડરની શરતો અને ટેકનિકલ માપદંડો અલગ-અલગ રહેતા હતા, જેના કારણે ઘણીવાર વિવાદો અને વિલંબ થતો હતો. સરકારના આ નવા અભિગમથી સમગ્ર રાજ્યમાં STP પ્રોજેક્ટ્સની કામગીરીમાં એકરૂપતા આવશે. આ સમાન ટેન્ડર પ્રક્રિયાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને પ્રોજેક્ટના અમલીકરણમાં પારદર્શિતા આવશે. જો કોઈ સ્થાનિક સંસ્થાએ વિશેષ જરૂરિયાત મુજબ કોઈ શરત ઉમેરવી હોય, તો તેના માટે હવે ટેકનિકલ સમિતિની ચકાસણી અને ઉચ્ચ સત્તાધિકારીની મંજૂરી ફરજિયાત રહેશે. શહેરી વિકાસને મળશે નવી ગતિનવા મોડેલ મુજબ ટેન્ડર પ્રક્રિયા થવાથી પ્રોજેક્ટના ખર્ચમાં કાર્યક્ષમતા આવશે અને મૂલ્ય આધારિત પરિણામો મળશે. સુરતના સરથાણા અને કનકપુર-કનસાડ જેવા વિસ્તારો માટે આ STP પ્લાન્ટ અત્યંત મહત્વના છે, કારણ કે તે વધતી જતી વસ્તીની ગટર વ્યવસ્થાના વ્યવસ્થાપનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં સુએજ ટ્રીટમેન્ટની કામગીરી ઝડપી બનશે અને પર્યાવરણીય સુરક્ષા સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:39 pm

નરસિંહ મહેતા સરોવર માટે ફી અને નવા નિયમો જાહેર:12 વર્ષથી વધુ ઉંમરના તમામ મુલાકાતીઓ માટે ₹20 પ્રવેશ ફી, ગંદકી કે નુકસાન કરનાર પાસેથી 5 હજાર સુધીનો દંડ વસૂલાશે

જૂનાગઢ શહેરની મધ્યમાં નવનિર્મિત અને ભવ્ય શ્રી નરસિંહ મહેતા સરોવરનું તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સરોવરને પ્રવાસીઓ અને શહેરની જનતા માટે આધુનિક સુવિધાઓ સાથે ખુલ્લું મૂક્યા બાદ, તેની જાળવણી અને સુરક્ષા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રવેશ ફી, સમય પત્રક અને દંડની નવી જોગવાઈઓ અમલી બનાવવામાં આવી છે. દર સોમવારે મેઈન્ટેનન્સ માટે સરોવર પ્રવાસીઓ માટે બંધ રહેશે​સરોવરની મુલાકાત માટે તંત્ર દ્વારા બે શિફ્ટ નક્કી કરવામાં આવી છે. પ્રથમ શિફ્ટ સવારે 06:00થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 03:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી રહેશે. દર સોમવારે મેઈન્ટેનન્સ માટે સરોવર પ્રવાસીઓ માટે બંધ રહેશે પરંતુ, સવારના વોકર્સ માટે સવારે 06:00થી 08:00ના સમયમાં પ્રવેશની છૂટ આપવામાં આવી છે. 5 વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગો માટે મફત એન્ટ્રી​પ્રવેશ ફીના નવા દરો મુજબ 12 વર્ષથી વધુ ઉંમરના તમામ મુલાકાતીઓ માટે ₹20/- (GST અલગથી) ટિકિટ નક્કી કરવામાં આવી છે. 5 વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, વહેલી સવારે 06:00થી 08:00 દરમિયાન મોર્નિંગ વોક માટે આવતા તમામ નાગરિકો મફતમાં પ્રવેશ મેળવી શકશે. ગંદકી કરનારાઓ પાસેથી 5 હજાર સુધીનો દંડ વસૂલાશે​સરોવરની સુંદરતા અને શિસ્ત જાળવવા માટે મહાનગરપાલિકાએ દંડની કડક જોગવાઈ કરી છે. જો કોઈ મુલાકાતી હથિયાર કે છરી જેવી પ્રતિબંધિત વસ્તુઓ સાથે પકડાશે, તો તેને ₹5000નો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા, ગંદકી ફેલાવવા, પાન-માવા ખાઈને થૂંકવા કે ધૂમ્રપાન કરવા બદલ ₹1000ના દંડની વસૂલાત કરવામાં આવશે. દંડ ઉપરાંત પોલીસ કાર્યવાહી પણ હાથ ધરાશે​તંત્ર દ્વારા સરોવરની ઇકોસિસ્ટમ અને મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. બગીચાના છોડ, લાઈટિંગ કે અન્ય સાધનોને નુકસાન કરવા પર તેમજ પરવાનગી વગર તળાવના પાણીમાં ઉતરવા બદલ ₹1000નો દંડ નક્કી કરાયો છે. નશાકારક પદાર્થોનું સેવન કરનાર સામે દંડ ઉપરાંત કાયદેસરની પોલીસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ​ જૂનાગઢ મહાનગરપાલિકાના પબ્લિક રિલેશન ઓફિસર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, શહેરના આ નજરાણા સમાન સરોવરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે. આ નિયમોનું પાલન કરીને જનતા સરોવરની સુંદરતા લાંબા સમય સુધી જાળવી શકશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:36 pm

આર્થીકભીંસથી કંટાળી 58 વર્ષીય સોની વેપારીનો ઝેરી દવા પી આપઘાત:ભગવતીપરામાં યુવાન પાસેથી પૈસાની માંગણી કરી બેલડીએ માર માર્યો, પુત્રને કપડાં આપવા ગયેલ યુવક પર પત્ની, સાસુ અને સસરાનો હુમલો

રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ નીલકંઠ ટોકીઝની પાછળ આવેલા મેહુલનગરમાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા સોની વેપારીએ આર્થીકભીંસથી કંટાળી ગઈકાલે બપોરના સમયે કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલની પાછળ બહેનના ઘરના દરવાજા પાસે જ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું આજે બપોરના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બેનના ઘરે ઝેરી દવા પી લેનાર વેપારીનું સારવાર દરમિયાન મોત મેહુલનગરમાં રહેતા હરિકૃષ્ણભાઈ જયચંદભાઈ રાણપરા (ઉ.વ.58) નામના સોની વેપારી ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા આસપાસ જલારામ નગરમાં રહેતા તેમના બહેનના ઘર પાસે હતા ત્યારે તેઓએ કોઈ ઝેરી દવા પી લીધી હતી જેથી બહેનને જાણ થતા તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું આજે બપોરના સમયે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં હરિકૃષ્ણ ભાઈને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે તેમજ પોતે બે ભાઈ બે બહેનમાં મોટા હતા. તેઓએ 10 વર્ષ પહેલા બાયપાસ કરાવ્યું હતું અને તેમની મગજની દવા પણ ચાલુ હતી. રાજકોટ સોની બજારમાં શ્રી જ્વેલર્સ નામે પેઢી ધરાવતા હતા જોકે છેલ્લા ઘણા સમયથી તેમનો ધંધો ચાલતો ન હતો જેથી તેઓ આર્થિકભીંસમાં મુકાઈ ગયા હતા જેનાથી કંટાળી તેમના બહેનના ઘર પાસે જઈ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ભગવતીપરામાં યુવક પર ધોકા વડે બેલડીનો હુમલો રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ અજીતભાઈ લંઘા (ઉ.વ.27)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે કેટરર્સનું કામ પૂર્ણ કરી છેલ્લા છ દિવસનો પગાર લઈ મારા સાસરે જતો હતો ત્યારે બપોરના 4 વાગ્યે ભગવતીપરા વિસ્તરમાં આવેલ અશાબાપીર રોડ ઉપર ચાલીને જતો હતો ત્યારે ત્યાં રહેતો સાગર નામનો વ્યક્તિ તથા અન્ય એક અજાણ્યો શખ્સ મારી પાસે આવી પૈસા માંગવા લાગ્યો હતો અને મને ગાળો આપતા મેં તેને પૈસા આપવાની ના પાડી ગાળો ન આપવા કહેતા બન્ને પોતાના ઘરે જઈ ધોકા લઈ આવી અને તેમાંથી એક જણાએ તેની પાસે રહેલ છરી મારા જમણા હાથમાં કોણીથી ઉપરના ભાગે એક ઘા માર્યો હતો ત્યારબાદ બંને જણા તેની પાસે રહેલ લાકડાના ધોકા વડે મને માર મારવા લાગ્યા હતા અને મને મુંઢ ઇજાઓ પહોંચાડી છે. આસપાસના લોકો ભેગા થઈ જતા આ બંને ત્યાંથી ભાગી ગયા હતા. હાલ બનાવ અંગે વિડીયો પણ સામે આવતા બી ડિવિઝન પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્ની, સાસુ અને સસરાનો હુમલોરાજકોટના ખોખડદડ પાસે રહેતા અજય મનસુખભાઈ ચાવડા નામનો યુવાન ગઈકાલે સાંજે શીતળાધાર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા તેમના સસરાને ત્યાં ગયો હતો ત્યારે તેમના પત્ની રોશનીબેન, સસરા દિનેશભાઈ રૂડા અને સાસુ ઉમિબેન સહિતનાઓએ અહીં શુ કામ આવ્યો તેમ કહીને ધોકા વડે માર માર્યો હતો જે બાદ હાલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવક કારખાનામાં કામ કરતો હોવાનુ અને તેમને સંતાનમાં એક દીકરો હોવાનું સામે આવ્યું છે અને પત્ની રોશની એકાદ મહિનાથી રિસામણે છે. ગઈકાલે પુત્રને રમાડવા અને તેમને કપડાં આપવા ગયો ત્યારે પત્ની સહિતનાએ ઝઘડો કરી માર માર્યો હોવાનું જણાવતા આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નશાની હાલતમાં પત્ની સાથે ઝઘડો કર્યા બાદ પરપ્રાંતીય યુવકનો ઝેરી દવા પી આપઘાત રાજકોટ નજીક લોઠડા ગામે રહેતો નિતેશ ઉર્ફ વિશાલ સુરેન્‍દ્રભાઇ રાવ (ઉ.વ.25) 8 દિવસ પહેલા ઘરે હતો ત્‍યારે ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો બાદમાં સારુ થઇ જતાં રજા અપાઇ હતી પરંતુ ગઇકાલે અચાનક ફરી તબીયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ સારવારમાં મોત નીપજ્યું હતું જેથી બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર નિતેશ ઉર્ફ વિશાલ મુળ બિહારનો વતની હતો તે ત્રણ ભાઇમાં નાનો હતો અને તેને સંતાનમાં એક દિકરી હોવાનું સામે આવ્યું છે. નિતેશ સીએનસી કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો તેને પત્‍નિ સાથે દારૂ પીધેલી હાલતમાં ઝઘડો થયા બાદ માઠુ લાગતાં ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:35 pm

કતારગામનું ‘અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ’ તૈયાર:ધાર્મિકસભાથી બિઝનેસ મીટિંગ સુધીના ભાડાના દરો જાહેર, એડવાન્સ બુકિંગ માટે પ્રીમિયમ પોલિસી

સુરતના કતારગામ વિસ્તારમાં નવનિર્મિત અને અત્યાધુનિક ભારત રત્ન અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમના વપરાશ માટેના ભાડાના દરો પર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિએ અંતિમ મહોર મારી દીધી છે. 876 બેઠકોની વિશાળ ક્ષમતા ધરાવતા આ ઓડિટોરિયમ માટે શહેરના નાગરિકો અને વ્યાવસાયિક એકમોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કેટેગરીમાં ભાડાના માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી હવે સ્થાનિક સ્તરે મોટા સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના રાહતદરોસ્થાયી સમિતિ દ્વારા નક્કી કરાયેલા દર મુજબ, સુરત પાલિકાની હદમાં વસતા રહીશો માટે ટિકિટ વગરની ધાર્મિક સભા, મીટિંગ કે પ્રવચન માટે કુલ ₹60,800 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જો કોઈ આયોજક નાટક, ભજન, લોક ડાયરો કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માંગતા હોય, તો તેમના માટે આ ખર્ચ અંદાજે ₹69,400 રહેશે. જોકે, પાલિકાની હદ બહારના આયોજકો માટે આ દરો થોડા વધુ એટલે કે ₹71,450થી ₹86,900 સુધી રાખવામાં આવ્યા છે. કોમર્શિયલ ઈવેન્ટ્સ અને સેમિનાર માટે પ્રીમિયમ ચાર્જવ્યાવસાયિક હેતુસર યોજાતા કાર્યક્રમો જેમ કે સેમિનાર, બિઝનેસ મીટિંગ્સ, શેરહોલ્ડર મીટિંગ કે ઓર્કેસ્ટ્રાના આયોજન માટે ₹86,900 નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ જ કેટેગરીમાં પાલિકા હદ બહારના આયોજકોએ ₹1,07,900 ચૂકવવા પડશે. આ તમામ દરોમાં મૂળ ભાડું, એસી ચાર્જ અને ડિપોઝિટનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વીજળીનો વપરાશ મીટર રીડિંગ મુજબ અલગથી ચૂકવવાનો રહેશે અને નિયત સમય મર્યાદા બાદ વધારાના કલાકો માટે પ્રતિ કલાક ₹4,000 નો ચાર્જ વસૂલાશે. અત્યાધુનિક ટેકનોલોજી અને હાઈ-ટેક સુવિધાઓઆ ઓડિટોરિયમ માત્ર બેઠક વ્યવસ્થામાં જ નહીં પરંતુ ટેકનોલોજીમાં પણ હાઈ-ટેક છે. સ્ટેજ પર 13x30 ફૂટની વિશાળ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે, જેનો ઉપયોગ આયોજકો 3.5 કલાક માટે ₹15,000 ના ભાડે કરી શકશે. આ ઉપરાંત નાના ગ્રુપ મીટિંગ્સ માટે બે કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા પણ છે, જેનું ભાડું ₹4,000થી ₹5,000 ની વચ્ચે રાખવામાં આવ્યું છે. વાયર માઈક અને પોડિયમ જેવી પ્રાથમિક સુવિધાઓ નિઃશુલ્ક રહેશે, પરંતુ કોર્ડલેસ કે લેપલ માઈક માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે. એડવાન્સ બુકિંગ માટે પ્રીમિયમ પોલિસીમોટા કાર્યક્રમોના આયોજકોને ધ્યાનમાં રાખીને પાલિકાએ એડવાન્સ બુકિંગની પોલિસી પણ જાહેર કરી છે. જો કોઈ આયોજક 3થી 4 મહિના અગાઉથી હોલ બુક કરાવવા માંગતા હોય, તો તેમણે નિયત ભાડા પર 25થી 50 ટકા સુધીનો વધારાનો પ્રીમિયમ ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમથી લોકપ્રિય તારીખો પર કાર્યક્રમોનું આયોજન કરવા માંગતા લોકો માટે અગાઉથી વ્યવસ્થા કરવાની સુવિધા મળશે. કતારગામ વિસ્તારના આ નજરાણા સમાન ઓડિટોરિયમથી શહેરની કલા-સાહિત્યિક પ્રવૃત્તિઓને નવું બળ મળશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:31 pm

'કોઈ માતા બદલો લેવા દીકરીની આબરૂ દાવ પર ન લગાડે':સાત વર્ષની બાળકી સાથે છેડતી અને મોબાઈલ સનેચિંગ કેસમાં સુરત કોર્ટ દ્વારા બે આરોપીને સાત-સાત વર્ષની જેલ

સુરતની સેશન્સ કોર્ટે સમાજમાં સગીર બાળકીઓની સુરક્ષા અને વધતી જતી લૂંટફાટની ઘટનાઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓ જેમાં એક તરફ રાંદેરમાં સગીર બાળકીઓ સાથે ઘરમાં ઘૂસીને થયેલી છેડછાડ અને બીજી તરફ કીમ વિસ્તારમાં થયેલી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી હતી. બંને કેસમાં આરોપીઓની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે સાત-સાત વર્ષની સખત કેદની સજા ફટકારીને ગુનેગારોમાં કાયદાનો ફફડાટ ફેલાવી દીધો છે. આરોપીએ સૂઈ રહેલી બાળકી સાથે અડપલાં કર્યા હતાપ્રથમ કિસ્સામાં, રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આલુપુરીનો ધંધો કરતી એક માતા પોતાની ત્રણ દીકરીઓને ઘરે મૂકીને કામ પર ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપી રાફે ઉર્ફે સમીર સાહિદ સૈયદ ઘરમાં ઘૂસી ગયો હતો અને સૂઈ રહેલી બાળકીઓ સાથે અડપલાં કર્યા હતા. બાળકીઓએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને આરોપી ઝડપાઈ ગયો હતો. કોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ દર્શાવે છે કે હવે માસૂમ બાળકીઓ પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવે છે, જેની તેમના માનસ પર ખૂબ જ ઊંડી અને નકારાત્મક અસર પડે છે. 'કોઈ માતા બદલો લેવા દીકરીની આબરૂ દાવ પર ન લગાડે'બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે અગાઉની દુશ્મનાવટના કારણે આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જોકે, કોર્ટે આ દલીલને ફગાવતા અત્યંત ભાવનાત્મક ટિપ્પણી કરી હતી કે, ભલે કોઈ પણ વ્યક્તિ વચ્ચે ગમે તેવી અદાવત હોય, પરંતુ કોઈ પણ માતા પોતાની દીકરીની આબરૂનો ઉપયોગ બદલો લેવા માટે ન કરે. પોતાની સંતાનને પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાવા પડે તેવી ખોટી ફરિયાદ કોઈ માતા ક્યારેય ન કરે, તેમ કહીને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. બીજો બનાવરાહદારીના હાથમાંથી 13 હજારનો મોબાઈલ ઝૂંટવી લીધો હતોબીજી તરફ, ત્રણ વર્ષ અગાઉ કીમ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં પણ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આરોપી આશિફ શેખે એક રાહદારીના હાથમાંથી 13 હજારનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આ કેસમાં મહત્વની વાત એ હતી કે ફરિયાદી પોતે કોર્ટમાં આરોપીને ઓળખી શક્યો ન હતો, પરંતુ એક સાક્ષીએ (સાહેદ) આરોપીને મક્કમતાથી ઓળખી બતાવ્યો હતો. આરોપી પાસેથી ચોરીના અન્ય પાંચ મોબાઈલ પણ મળી આવ્યા હતા, જે તેના ગુનાહિત ઈતિહાસની સાક્ષી પૂરતા હતા. બંને કેસમાં આરોપીઓને સાત-સાત વર્ષની સજા અને દંડ ફટકાર્યોઅંતે, નામદાર કોર્ટે બંને કેસમાં સાક્ષીઓ અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને આરોપીઓને સાત-સાત વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. સ્નેચિંગના કેસમાં ભલે ફરિયાદ મોડી થઈ હતી, પરંતુ સાક્ષીની ઓળખ પર ભરોસો મૂકી ન્યાય તોળવામાં આવ્યો છે. આ ચુકાદાઓ દ્વારા સુરત કોર્ટે સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સગીરા વિરુદ્ધના અપરાધ હોય કે શેરી ગુનાખોરી, કાયદો કોઈને પણ છોડશે નહીં.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:25 pm

એક કંપનીએ બેંક ઓફ બરોડા સાથે 28.54 કરોડની ઠગાઈ આચરી:EDએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરી, 19.37 કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં

ED અમદાવાદ દ્વારા બેંક ઓફ બરોડા સાથે થયેલ 28.54 કરોડ રૂપિયાની છેતરપિંડીના મની લોન્ડરિંગ કેસમાં મેસર્સ હેલિયસ ટ્યુબ એલોયસ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની વિગતો જોતા ED દ્વારા આ તપાસ CBI-ACB, ગાંધીનગર દ્વારા નોંધવામાં આવેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. આ FIR મેસર્સ હેલિયસ ટ્યુબ એલોયસ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ નોંધાઈ હતી. બેંકના નાણાં ડાયવર્ટ કરીને 28.54 કરોડની છેતરપિંડી કરીEDની તપાસમાં ખુલાસા થયા હતા કે, કંપની અને તેના ડિરેક્ટરોએ કોઈપણ વાસ્તવિક વ્યવસાયિક લેણદેણ વગર બેંકના નાણાં તેમની સંલગ્ન કંપનીઓમાં ડાયવર્ટ કરીને 28.54 કરોડની છેતરપિંડી કરી હતી. કંપનીએ લોન મેળવવા માટે બેંકોને બોગસ લેટર ઓફ ક્રેડિટ જારી કર્યા હતા. બેંક ઓફ બરોડાને ખોટું આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ડિરેક્ટરોએ જાણીજોઈને ખોટા સ્ટોક સ્ટેટમેન્ટ્સ અને કંપનીના હિસાબી ચોપડા રજૂ કર્યા હતા. EDએ 19.37 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તપાસના આધારે, EDએ એક કામચલાઉ જપ્તી આદેશ બહાર પાડીને 19.37 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:16 pm

SP યુનિવર્સિટીમાં 'મોક બજેટ' સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ સંસદ જેવું વાતાવરણ સર્જી બજેટ પર ચર્ચા કરી

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 'મોક બજેટ પ્રેઝન્ટેશન સ્પર્ધા-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી યોજાતી આ પરંપરાગત સ્પર્ધામાં એમ.એ. સેમેસ્ટર-4ના 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સંસદ જેવો માહોલ સર્જ્યો હતો. ખુશી હડીયલે નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું, જ્યારે ભાવિન શર્માએ પ્રધાનમંત્રી, હાર્દિક પરમારે વિરોધ પક્ષના નેતા અને જાનવી પરમારે સ્પીકરની ભૂમિકા ભજવી હતી. અન્ય વિદ્યાર્થીઓએ સાંસદ સભ્યો તરીકે જોડાઈને બજેટના વિવિધ પાસાઓ પર તાર્કિક ચર્ચાઓ કરી હતી. નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ પર શાસક પક્ષના સાંસદોએ ખેડૂતલક્ષી યોજનાઓ, સ્ત્રી સશક્તિકરણ અને યુવા વિકાસ જેવા મુદ્દાઓ પર છણાવટ કરી હતી. તેની સામે વિપક્ષી સાંસદોએ ભાવવધારો અને કર સુધારા જેવા મુદ્દે સરકારને ઘેરીને તીખી પ્રતિક્રિયા આપી હતી. વિદ્યાર્થીઓની આ બૌદ્ધિક ચર્ચાના અંતે નિર્ણાયક તરીકે ઉપસ્થિત MBA વિભાગના પ્રોફેસર રાજુ રાઠોડ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર સોનલબેન ભટ્ટે વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગના અધ્યક્ષ પ્રો. કિંજલ અહીર સહિતના ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને દેશની સંસદીય કાર્યપ્રણાલી અને આર્થિક નીતિઓ સમજવાની ઉત્તમ તક મળી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ખુશી હડીયલે પ્રથમ ક્રમ, હીના રોહિતે દ્વિતીય ક્રમ અને રોનક ચૌહાણે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન અને સંચાલન વિભાગના અધ્યાપકો પ્રો. સોનલ ભટ્ટ અને ડૉ. આશિષ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:14 pm

સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી મૃત નવજાત શિશુ મળ્યું:હોસ્પિટલની નવી બનતી સાઇટ પરથી મૃતદેહ મળ્યો

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક 2 દિવસનું નવજાત બાળક મળી આવ્યું છે. નવી બની રહેલી હોસ્પિટલની બિલ્ડિંગના પરિસરમાંથી એક અજાણ્યું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ખુલ્લી જગ્યામાં એક બાળકનો મૃતદેહ પડ્યોસોલા સિવિલ હોસ્પિટલની નવી બની રહેલી સાઇટ પર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રાજકુમાર અરવિંદ શર્માએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત 11 ફેબ્રુઆરી 2026 ના રોજ રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ સાઇટ પર ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડ દિપક રાઠોડે સુપરવાઇઝરને જાણ કરી હતી કે ખુલ્લી જગ્યામાં એક બાળકનો મૃતદેહ પડ્યો છે. બાળક આશરે 2 દિવસનું નવજાત હોવાનું સામે આવ્યુંમૃત મળી આવેલું બાળક આશરે 2 દિવસનું નવજાત હોવાનું જણાયુ છે. મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે કોઈ અજાણી મહિલાએ પોતાના પાપ અથવા જન્મ છુપાવવાના ઇરાદે નવજાત બાળકને આ રીતે ત્યજી દીધું હતું. બાળકને ત્યજી જનાર અજાણી મહિલાનો પત્તો લગાવવા તપાસ શરૂસોલા હાઈકોર્ટ પોલીસ મથકે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 94 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી બાળકને ત્યજી જનાર અજાણી મહિલાનો પત્તો લગાવી શકાય.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:09 pm

SP યુનિવર્સિટીમાં ‘બજેટ ટોક @ કેમ્પસ’ યોજાયો:યુનિયન બજેટ 2026-27 અને વિકસિત ભારત 2047 પર વિશ્લેષણ કરાયું

સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યુનિયન બજેટ 2026-27 વિષય પર બજેટ ટોક @ કેમ્પસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રોફ. શિરીષ કુલકર્ણીએ 500થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને બજેટના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીતથી થયો હતો. આ પ્રસંગે કુલપતિ પ્રોફ. નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલ, સરકારના પ્રતિનિધિ જગતભાઈ પટેલ અને નોડલ ઓફિસર પ્રોફ. કિન્જલ અહીરનું સ્મૃતિચિહ્ન અને સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા પ્રોફ. શિરીષ કુલકર્ણીએ પોતાના સંબોધનમાં વિકસિત ભારત 2047 ના વિઝન પર ભાર મૂક્યો હતો. તેમણે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને બજેટની દિશા અંગે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. પ્રોફ. કુલકર્ણીએ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની મજબૂત સ્થિતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ફાળવવામાં આવેલી રકમ તેમજ નાણાકીય શિસ્ત જેવા મહત્વના મુદ્દાઓનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે બજેટનો મુખ્ય હેતુ રોજગારી વધારવાનો અને ખાનગી ક્ષેત્રના રોકાણને વેગ આપવાનો છે. કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓએ બજેટ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના વક્તાએ સંતોષકારક જવાબો આપ્યા હતા. આ સત્ર સંવાદાત્મક બન્યું હતું. અંતે, નોડલ ઓફિસર ડૉ. કિન્જલ અહીર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 9:07 pm

આણંદથી મહારાષ્ટ્રમાં કતલખાને લઈ જવાતા 19 પશુને બચાવી લેવાયા:જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલું કન્ટેનર વડોદરા પાસે એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી પાડ્યું, કન્ટેનર સહિતનો મુદ્દામાલ ભાદરવા પોલીસે જપ્ત

આણંદ જિલ્લાના સામરખા ગામેથી કન્ટેનરમાં 19 જેટલા પશુઓ ભરીને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના કતલખાને લઈ જવામાં આવતા હતા. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી રાયકા એક્સપ્રેસ હાઈવે ઉપરથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા હતા. ભાદરવા પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લાના સામરખા ગામેથી 19 જેટલા પશુઓ ભરેલું કન્ટેનર મહારાષ્ટ્રના માલેગાવ માં આવેલા કતલખાને જવાનું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી રાયકા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થવાનું છે તેવી બાતમી મળી હતી. જેના આધારે રાયકા ગામ પાસે જીવદયા પ્રેમી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમીયાન રાયકા ગામ પાસે એક્સપ્રેસ હાઇવે પરથી આ કન્ટેનર પસાર થતા જીવ દયા પ્રેમીના કાર્યકર જતીન વ્યાસ અને હરીશ સરાણીયા સહિતની ટીમે પશુઓ ભરેલું કન્ટેનર ને ઝડપી પડવામાં આવ્યું હતું. કન્ટેનર પર બાંધેલી તાડપત્રી હટાવી જોતા તેમાં ખીચો ખીચ રીતે બાંધેલા 19 જેટલા પશુઓ બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટના બાબતે ભાદરવા પોલીસને જાણ કરતા કર્મચારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમીઓએ કન્ટેનરનો ડ્રાઈવર તેમજ પશુ ભરેલૂ કન્ટેનર ભાદરવા પોલીસને સોપવામાં આવ્યું હતું અને ભાદરવા પોલીસે આરોપી ફારુકમિયા મલેક અને ઇલિયાસમિયા મલેક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:58 pm

લગ્નના માંડવેથી મરણ પથારીએ પહોંચી:કેનેડાથી આવેલા પતિ સાથે લગ્ન થયાની રાત્રે જ નવવધૂનું ટાઈફોડથી મોત, સુરતમાં લગ્નની શરણાઈઓ ગુંજતી'તી ત્યાં મરણનો માતમ

એવું કહેવાય છે કે, કુદરતના ખેલ અકળ હોય છે પરંતુ, સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે બનેલી એક ઘટનાએ માનવતાને હચમચાવી દીધી છે. જે ઘરમાં કન્યાના આગમનનો આનંદ અને લગ્નની શરણાઈઓ ગુંજતી હતી ત્યાં ગણતરીના કલાકોમાં જ મરણનો માતમ છવાઈ ગયો છે. કેનેડાથી પરત ફરેલા યુવક સાથે વિધિસર લગ્ન કર્યાની રાત્રે જ 25 વર્ષીય નવવધૂ વેદી પટેલનું ટાઈફોડના કારણે કરુણ મોત નીપજ્યું છે. કેનેડાથી સુરત આવીને વિધિસર ધામધૂમથી લગ્ન કર્યાઓલપાડના ગોથાણ ગામના ખાડી ફળિયામાં રહેતા નૈતિકભાઈ પટેલ કેનેડાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે અંદાજે 10 મહિના પહેલા વેદી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે સમયે કદાચ સામાજિક વિધિઓ બાકી હોવાથી તેઓ તાજેતરમાં જ કેનેડાથી સુરત આવ્યા હતા. ગતરોજ પરિવારજનો અને સ્નેહીજનોની હાજરીમાં નૈતિક અને વેદીના વિધિસર લગ્ન ધામધૂમથી સંપન્ન થયા હતા. બીમારી છતાં લગ્નની વિધિ પર બેઠી હતી દીકરીપરિવારના જણાવ્યા અનુસાર, વેદીને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવતો હતો. તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી અને રિપોર્ટમાં તેને ટાઇફોડ હોવાનું નિદાન થયું હતું. બીમારી હોવા છતાં લગ્નનો પ્રસંગ હોવાથી વેદીએ મક્કમ રહીને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી હતી. રાત્રે અચાનક તબિયત લથડીલગ્ન પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે વેદીની તબિયત અચાનક વધુ બગડી હતી. તાવના કારણે તે બેભાન થઈ જતાં પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. સસરા તરત જ તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. ગામમાં અને પરિવારમાં શોકનું મોજુંમાત્ર 25 વર્ષની ઉંમરે અને લગ્નના પહેલા જ દિવસે પત્ની ગુમાવતા નૈતિક પટેલ અને બંને પરિવારો પર આભ તૂટી પડ્યું છે. જે હાથમાં મહેંદીનો રંગ હજુ ઉતર્યો પણ નહોતો, તે હાથે દુનિયાને અલવિદા કહી દીધું. આ ઘટનાએ સમગ્ર ઓલપાડ પંથકમાં ચકચાર જગાવી છે અને લોકોમાં ભારે અરેરાટી જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:57 pm

મિત્રની હત્યા કરી લાશ ફેંકી:ઉમરગામના આરોપીના જામીન વાપી કોર્ટે નામંજૂર કર્યાં

વલસાડ જિલ્લાના ઉમરગામમાં મિત્રની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દેવાના ચકચારી કેસમાં આરોપી ધ્રુવલ ઉર્ફે ઋતિક કૈલાશભાઈ કોળી પટેલની જામીન અરજી વાપીની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે સરકારી વકીલની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આ ચુકાદો આપ્યો હતો. આ ઘટના ગત વર્ષે માર્ચ મહિનામાં ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. આરોપી ધ્રુવલ ઉર્ફે ઋતિકે તેના એક સાથીદાર સાથે મળીને મૃતક તરલભાઈને નારગોલ નવા તળાવ પાસે ખુલ્લા ખેતરમાં દારૂની પાર્ટી કરવાના બહાને બોલાવ્યા હતા. આરોપીઓની મુખ્ય દાનત તરલભાઈના બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા પડાવવાની હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ તરલભાઈને દારૂનો નશો કરાવી, ગળે ટૂંપો દઈને હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ મૃતકનો મોબાઈલ ફોન લઈ, 'હેપ્પી એસ કેસિનો' નામની ગેમમાં પૈસા રોકવાના બહાને મૃતકના ગૂગલ પે અને ફોન-પેના પાસવર્ડ મેળવી લીધા હતા. ત્યારબાદ ટુકડે-ટુકડે કુલ રૂપિયા 2,87,189/- પોતાના આઈડીમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ મૃતકનું સીમકાર્ડ પણ સળગાવી નાખ્યું હતું. આ કેસમાં સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ કોર્ટમાં દલીલો કરતા જણાવ્યું હતું કે આરોપીએ ઠંડા કલેજે પૂર્વ આયોજિત કાવતરું રચીને હત્યા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આરોપી ગુનાહિત માનસ ધરાવે છે અને જો તેને જામીન આપવામાં આવે તો સાક્ષીઓને ધમકાવવાની કે પુરાવા સાથે છેડછાડ કરવાની પૂરી શક્યતા છે. વધુમાં, આરોપીએ અગાઉ હાઈકોર્ટમાંથી પણ જામીન અરજીઓ પરત ખેંચી છે, જે તેની ગુનામાં સંડોવણી સ્પષ્ટ કરે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે આઈપીસી કલમ 302 (હત્યા), 328, 201, 34 અને આઈ.ટી. એક્ટ મુજબ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. ગુનાની ગંભીરતા અને ક્રૂરતાને જોતા આરોપી ધ્રુવલ પટેલને જેલમુક્ત કરવો ન્યાયના હિતમાં નથી. પરિણામે, કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:48 pm

SP યુનિવર્સિટીમાં 'કેમ્પસ બર્ડ કાઉન્ટ'નો આજથી પ્રારંભ:પક્ષીઓની ગણતરી કરી ડેટા વૈશ્વિક પ્લેટફોર્મ પર મુકાશે

સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક જીવવિજ્ઞાન વિભાગ દ્વારા આજે 'કેમ્પસ બર્ડ કાઉન્ટ-2026'નો પ્રારંભ થયો છે. 'ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ' (GBBC) ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે આ ચાર દિવસીય કાર્યક્રમ 13 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ આયોજનમાં વી.પી. અને આર.પી.ટી.પી. સાયન્સ કોલેજ તેમજ સી.સી. પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનો સહયોગ મળ્યો છે. આ અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસના વિવિધ વિસ્તારોમાં વસતા પક્ષીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે. તેમની સંખ્યા અને પ્રજાતિઓની વિગતો એકત્રિત કરાશે. આ ડેટા વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત 'eBird' પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે, જે સંશોધન અને સંરક્ષણના હેતુ માટે ઉપલબ્ધ રહેશે. પક્ષી ગણતરીની આ પ્રક્રિયા દરરોજ સવારે 7:00 થી 10:00 કલાક દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. પ્રથમ દિવસે બાયોસાયન્સ વિભાગ અને તેની આસપાસના વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરાયું હતું. આગામી દિવસોમાં બોટનિકલ ગાર્ડન, સ્ટાફ કોલોની, યુનિવર્સિટી પ્રિમાઈસીસ, શાસ્ત્રી મેદાન અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ કેમ્પસની જૈવવિવિધતાને સમજવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. પક્ષી પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ પહેલ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:47 pm

રાજકોટમાં વધુ એક ફૂટબ્રીજ બનશે:ટ્રાફિકથી સતત ધમધમતી ગોંડલ ચોકડીએ રૂ. 5 કરોડનાં ખર્ચે ફૂટબ્રીજ બનાવવા ટેન્ડર જાહેર, હજારો મુસાફરોને મળશે લાભ

રાજકોટ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ગઈકાલે બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર પર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે શહેરના મુખ્યનાકા ગોંડલ ચોકડી પર પણ ફૂટ ઓવરબ્રીજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રૂ. 5 કરોડના ખર્ચે ગોંડલ રોડ ચોકડીએ ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે. જેનો હજારો મુસાફરોને લાભ મળશે. ગોંડલ ચોકડીએ રોજ સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી હજારો પ્રવાસીઓ ટ્રાવેલીંગ કરી ઉતરતા હોય છે. આ સ્થળ હવે ટ્રાવેલ્સ અને એસટી સહિતના વાહનો માટે પીકઅપ પોઈન્ટ થઈ ગયું હોવાથી વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત મુસાફરોની અવરજવર રહેતી હોય છે. આ બન્ને સાઈડ બસમાંથી ઉતર્યા બાદ મુસાફરોએ રોડ ક્રોસ કરવો પડે છે. જેના લીધે સતત ટ્રાફિક હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેના નિવારણ માટે સર્વે કર્યા બાદ કોર્પોરેશનને આ સ્થળે ફૂટ ઓવરબ્રીજની જરૂરિયાત લાગતા હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં ત્રિકોણબાગ સર્કલ સહિતના સતત ટ્રાફિકથી ધમધમતા સર્કલો પર પણ ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી શક્યતા છે. મહાશિવરાત્રીના પર્વે ભવ્ય શિવ શોભાયાત્રા યોજાશે, ઉજ્જૈનની અઘોરી ટીમ આકર્ષણનું કેન્દ્ર બનશે રાજકોટમાં મહાશિવરાત્રીના પર્વને ભક્તિમય બનાવવા માટે દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા બપોરે 1:30 કલાકે રાજકોટના રાજા સ્વયંભૂ ગણાતા રામનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે. આ વર્ષની યાત્રામાં મુખ્ય આકર્ષણ તરીકે સોમનાથ મહાદેવનો 17 ફૂટ ઊંચાઈ ધરાવતો થ્રીડી ફ્લોટ અને 11 જ્યોતિર્લિંગના ફ્લોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરના આ ખાસ આકર્ષક ફ્લોટનું નિર્માણ આર્ટિસ્ટ અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે. વિશેષ આકર્ષણ તરીકે ઉજ્જૈનથી 22 વ્યક્તિઓની શિવ અઘોરી ટીમ આવશે, જે સમગ્ર રૂટ દરમિયાન શિવ તાંડવ નૃત્ય રજૂ કરી શિવ મહિમાની ભવ્ય પ્રસ્તુતિ કરશે. શોભાયાત્રા રામનાથપરા, ભાવનગર રોડ અને સંતકબીર રોડ જેવા વિવિધ વિસ્તારોમાં ફરીને કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ પાસે પૂર્ણ થશે. ભક્તો માટે 25,000 ભાંગની બોટલના પ્રસાદની સાથે ભાગ્યશાળી ભક્તોને ચાંદીનો મઢેલો રુદ્રાક્ષ અને ચાંદીનું બીલીપત્ર પણ આપવામાં આવશે. યાત્રાના રૂટ પર ઠંડા પીણા અને સ્વાગત કાર્યક્રમો પણ યોજાશે. રાત્રે 8 વાગ્યે મહાઆરતી બાદ તમામ ભક્તો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના બામણબોર અને સણોસરા ખાતે 'ક્લસ્ટર લીગલ એઈડ ક્લિનિક'નો ઐતિહાસિક પ્રારંભ રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કાનૂની જાગૃતિ લાવવા અને ગરીબ તથા શોષિત નાગરિકોને ઘર આંગણે ન્યાય અપાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટીની 'નાલ્સા (જાગ્રિતી) યોજના 2025' હેઠળ રાજકોટ તાલુકાના બામણબોર અને સણોસરામાં 2 'ક્લસ્ટર લીગલ એઈડ ક્લિનિક'નો 13/02/2026 ના રોજ ઐતિહાસિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ક્લસ્ટર મોડેલ અંતર્ગત આસપાસના 10 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જે 3 થી 5 કિમીનાં વિસ્તારમાં વસતા લોકોને અસરકારક ન્યાયિક સેવાઓ પૂરી પાડશે. આ ક્લિનિક્સ માત્ર કચેરી ન બની રહેતા જીવંત સેવા કેન્દ્રો તરીકે કાર્ય કરશે, જ્યાં તાલીમબદ્ધ પેરા લીગલ વોલન્ટીયર્સ દ્વારા જરૂરિયાતમંદોને મફત કાનૂની સલાહ, સહાય અને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ એચ. વી. જોટાણીયા દ્વારા ગ્રામ પંચાયત ખાતે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ન્યાય મેળવવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને છેવાડાના લોકો આ અધિકારથી વંચિત ન રહે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દેશભરના 12 જ્યોતિર્લિંગ ખાતે એકસાથે 108 કુંડી યજ્ઞમાળાનું ભવ્ય આયોજન સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન-ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રના તમામ 12 જ્યોતિર્લિંગોમાં એકસાથે 108 કુંડી યજ્ઞમાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવનું કેન્દ્રસ્થાન દેવભૂમિ દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ રહેશે. આ યજ્ઞમાળા 19 ફેબ્રુઆરી 2026 થી 27 ફેબ્રુઆરી 2026 સુધી સતત 9 દિવસ ચાલશે, જેનું જીવંત પ્રસારણ યુ-ટ્યુબ પર સવારે 9 થી 1 અને બપોરે 3 થી 7 કલાકે કરવામાં આવશે. નાગેશ્વર ખાતે સાંસદ પૂનમબેન માડમ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવશે, જેમાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. અન્ય જ્યોતિર્લિંગો પૈકી ત્ર્યંબકેશ્વર ખાતે ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ અને રામેશ્વર ખાતે આર.સી.ફળદુ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવશે. આ બંને મહાનુભાવો 9 દિવસ દરમિયાન વિવિધ જ્યોતિર્લિંગોની મુલાકાત લઈ અંતિમ દિવસે નાગેશ્વર ખાતે પૂર્ણાહુતિમાં જોડાશે. આ આયોજનમાં પૂર્વ પસંદગી પામેલા બ્રાહ્મણ દંપતીઓ દ્વારા એક જ સમયે આહૂતિઓ આપવામાં આવશે. દેશની સુખાકારી માટે આયોજિત આ મહાયાગમાં વિવિધ સંતો-મહંતો અને જ્યોતિર્લિંગના પૂજારીઓ પણ સહભાગી બનશે. રાજકોટમાં દાયકા બાદ થશે વૃક્ષોની ગણતરી, મનપાએ એજન્સી રોકવા ફરી ટેન્ડર પ્રસિધ્ધ કર્યું રાજકોટ શહેરમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ બાદ ફરી વૃક્ષોની ગણતરી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. છેલ્લા ગણતરી મુજબ શહેરમાં અંદાજે 3,00,000 વૃક્ષો નોંધાયા હતા. આ વખતે ગાર્ડન શાખા દ્વારા વસ્તી ગણતરીની જેમ શહેરની દરેક શેરીઓ અને વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈને ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે. જેમાં મિયાવાકી ગાર્ડન અને અર્બન ફોરેસ્ટ જેવી ગ્રીન સ્પેસનો પણ સમાવેશ કરાશે. આ કામગીરી માટે મનપા પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી ખાનગી એજન્સીની મદદ લેવાનું નક્કી કરાયું છે. અગાઉ બહાર પાડેલા ટેન્ડરમાં કોઈ એજન્સીએ રસ ન દાખવતા, હાલ બીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. પસંદ થયેલી એજન્સીએ 1 વર્ષમાં વૃક્ષોની સંખ્યા, તેના પ્રકાર, આયુષ્ય અને વર્તમાન સ્થિતિ જેવી વિગતો સોંપવાની રહેશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્વરિત ગણતરી શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:44 pm

વલસાડના યુવકે પંજાબમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું:સોશિયલ મીડિયામાં અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી

વલસાડના એક યુવકે પંજાબમાં એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને તેનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ગુના બદલ પંજાબ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વલસાડમાંથી આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના મોગરાવાડી, તારાબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ સ્કૂલ પાસે રહેતા સેજવન સિંગ નામના યુવકે પંજાબના અન્ય એક યુવક સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ પીડિત યુવતીનો અશ્લીલ વીડિયો વલસાડ, વાપી અને પંજાબના ગુરુદ્વારાના મહિલાઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કર્યો હતો. આ કૃત્ય દ્વારા યુવતીને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીના પરિવારે પંજાબના ઝીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પંજાબ પોલીસની ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરતા એક આરોપી પંજાબમાંથી ઝડપાઈ ગયો હતો, જ્યારે તેજવંત સિંગ વલસાડમાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પંજાબ પોલીસની ટીમે વલસાડમાં તેજવંત સિંગના ઘરે ઓચિંતો છાપો મારી તેની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પંજાબ પોલીસે તેને વલસાડ કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને વધુ તપાસ માટે પંજાબ લઈ જવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:37 pm

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક:અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં એડમિટ, હદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી હતીશિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાંજે 5.30 વાગ્યા સુધી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું ભવન સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે હાજર હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમને દુઃખાવો ઉપડતા તબિયત થોડી બગડી હતી. હૃદયમાં બ્લોકેજ હોવા અંગેની જાણ થઈજેથી તેઓને અસારવા ખાતે આવેલી યુ.એન મહેતા હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપમાં હૃદયમાં બ્લોકેજ હોવા અંગેની જાણ થઈ હતી જેથી તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી હાલ તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ છે અને તબિયત સ્થિર હોવાનુ જાણવા મળ્યું છે. એક નળીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું, હાલ તબિયત સ્થિરઆજે 13 ફેબ્રુઆરીના રોજ સાંજે તેમનું જીવન રહેતા હોસ્પિટલ ખાતે પણ જવાનું હતું. જેથી તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી અને સીધા યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. પ્રદ્યુમન વાજાની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં તેમને એક નળીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું જેથી એક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઓક્ટોબર 2025માં ડો. પ્રદ્યુમન વાજા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી બન્યા છેડો. પ્રદ્યુમન વાજા મૂળ અમદાવાદના વતની છે અને ગણુભાઈ વાજાના પુત્ર છે. તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વધુમાં, 2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે, અને તેમના પત્ની પણ ડોક્ટર છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ડો. વાજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો. તેમણે કુલ 77,794 મત પ્રાપ્ત કર્યા હતા. આ ચૂંટણીમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેમના નજીકના હરીફ મહેશ મકવાણાને 19,386 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ઓક્ટોબર 2025માં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી બનાવાયા છે. પ્રદેશ ભાજપ SC મોર્ચાના પ્રમુખની જવાબદારી સંભાળીડો.પ્રદ્યુમન વાજા શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ, શિક્ષણની દ્રષ્ટિએ બહુમુખી પ્રતિભા ધરાવે છે. રાજકીય કારકિર્દી અંગે વાત કરીએ તો તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ પ્રદેશ ભાજપ SC મોર્ચાના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.આ ચૂંટણીમાં તેઓ ભાજપનું પ્રતિનિધિત્વ કરી કોડીનારથી જીત્યા હતા. ડો.પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર વિધાનસભા (Kodinar Assembly) મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે, જે અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત છે. પ્રદ્યુમન વાજા ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનાં જાણીતા અનુસૂચિત જાતિ (SC) ચહેરા છે. નવા મંત્રીમંડળમાં પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતું મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:37 pm

SP યુનિવર્સિટીએ 'The Book Talk Club' સાથે MoU કર્યા:'વાંચે ગુજરાત 2.0' માટે 'અનુભૂતિ' પ્લેટફોર્મ શરૂ થશે

સરદાર પટેલ યુનિવર્સિટીએ રાજ્યના 'વાંચે ગુજરાત 2.0' અભિયાનને વેગ આપવા અને વિદ્યાર્થીઓમાં વાંચન-સંસ્કૃતિ મજબૂત કરવાના હેતુથી 'The Book Talk Club' સાથે સમજૂતી કરાર (MoU) કર્યા છે. આ કરાર કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં સંપન્ન થયા હતા. કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલના હસ્તે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ. બિરજ પટેલ, શિક્ષણ વિભાગના પ્રોફેસર ડૉ. અલ્કા મેકવાન અને ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રાજેશ્વરી પટેલ કો-ઓર્ડિનેટર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ યુનિવર્સિટી કેમ્પસમાં વાંચનની આદત, અભિરુચિ અને વિદ્યાર્થીઓની સ્વતંત્ર વિચારશક્તિને પ્રોત્સાહિત કરવાનો છે. બંને સંસ્થાઓ વચ્ચે આત્મીય સહકાર સાધીને આ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલના ભાગરૂપે, આગામી મહિનાથી યુનિવર્સિટી દ્વારા “અનુભૂતિ” નામનું એક અનોખું રીડર-એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને પુસ્તકપ્રેમીઓ એકત્રિત થઈ પોતાના વાંચન અનુભવો અને પ્રતિભાવોની આપ-લે કરી શકશે. “અનુભૂતિ” પ્લેટફોર્મ દ્વારા જ્ઞાનની વહેંચણી અને અર્થપૂર્ણ વાર્તાલાપ ધરાવતા વિચારશીલ સમુદાયની રચના કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. MoU પર હસ્તાક્ષર વખતે The Book Talk Clubના સ્થાપક હર્ષભાઈ બારોટ, ઉપપ્રમુખ કેતન પ્રજાપતિ અને સંસ્થાકીય સચિવ હેતવી રાવલ તથા હિરલ પટેલ સહિતની ટીમ હાજર રહી હતી. આ સહયોગથી વિવિધ સાહિત્યિક કાર્યક્રમો અને ચર્ચાઓનું આયોજન થશે,

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:35 pm

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે:20થી 22 ફેબ્રુઆરી સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક ને અમદાવાદમાં જનસભા યોજાશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આગામી તા. 20થી 22 ફેબ્રુઆરી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમના આગમનને લઈને રાજ્ય ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંગઠન સાથે મહત્વની બેઠકપ્રવાસ દરમિયાન નીતિન નવીન રાજ્યના જન પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. સંગઠનાત્મક માળખાને વધુ સશક્ત બનાવવું, આવનારી રાજકીય વ્યૂહરચના અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા ફેલાવાનો મુખ્ય એજન્ડા રહેશે. અમદાવાદમાં જનસભા યોજાશેઅમદાવાદમાં તેમના સ્વાગત માટે ભવ્ય જનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો હાજરી આપશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. ભાજપના સૂત્રો મુજબ, આ ત્રિદિવસીય પ્રવાસ રાજ્ય સંગઠન માટે દિશાનિર્ધારક સાબિત થઈ શકે છે અને કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:29 pm

ગોધરા છાવડા ગામે ઉદવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય રાઉલજીએ કહ્યું - આંતરિક ઝઘડાથી યોજનાઓ અટકી, સંપ વિના વિકાસ અશક્ય

ગોધરા તાલુકાના છાવડા ગામે ઉદવહન સિંચાઈ યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ગામના આગેવાનો અને પંચાયતના સભ્યોને આંતરિક વિખવાદો ટાળીને વિકાસના કામોમાં સહયોગ આપવા ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે અંદરોઅંદરના ઝઘડાઓને કારણે અનેક યોજનાઓ અટકી પડી છે. રાઉલજીએ વિકાસના કામોમાં અવરોધરૂપ બનતા આંતરિક વિખવાદો મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી ગામમાં સંપ અને એકતા નહીં હોય, ત્યાં સુધી વિકાસના કામોને વેગ મળવો મુશ્કેલ છે. ધારાસભ્યએ કહ્યું કે, સરપંચનું આયુષ્ય તો માત્ર પાંચ વર્ષનું હોય છે, પરંતુ સરકારી યોજનાઓ અને તેનાથી થતો વિકાસ કાયમી હોય છે. તેમણે ગામના આગેવાનોને વ્યક્તિગત કે રાજકીય મતભેદો બાજુ પર મૂકીને ગામના સર્વાંગી વિકાસ માટે એકતા સાથે કામ કરવા નસીહત આપી. તેમણે ભૂતકાળના ઉદાહરણો ટાંકતા જણાવ્યું કે અંદરોઅંદરના ઝઘડાઓને કારણે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓ બંધ થઈ ગઈ છે. આનાથી છેવટે ગામના સામાન્ય નાગરિકોને જ નુકસાન ભોગવવું પડે છે. સી.કે. રાઉલજીએ અંતમાં ઉમેર્યું કે, જો આપણે સાથે મળીને કામ નહીં કરીએ, તો નુકસાન છેવટે ગામના સામાન્ય નાગરિકોને જ ભોગવવું પડશે. તેમણે સૌને ગામના હિતમાં એક થઈને કામ કરવા અપીલ કરી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:27 pm

ગોધરા-લુણાવાડા હાઈવે પર ટ્રેક્ટર પલટ્યું:સળિયા ભરેલા ટ્રેક્ટરના અકસ્માતમાં ત્રણનો આબાદ બચાવ

ગોધરા-લુણાવાડા હાઈવે પર નાડા ગામ નજીક લોખંડના સળિયા ભરેલા એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેક્ટર લોખંડના સળિયા ભરીને ગોધરા તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રોડની બાજુમાં પલટી ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રેક્ટર ચાલક અને તેની સાથે સવાર અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ સાથે બચાવી લેવાયા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:23 pm

AI ટેકનોલોજીના સથવારે ગાંધીનગરનો કાયાકલ્પ થશે:કમાન્ડ કંટ્રોલ સેન્ટર હવે સુરક્ષા અને સુવિધાનું ડિજિટલ હબ બનશે, 1918 કરોડના બજેટને મંજૂરીની મહોર

ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આજે શહેરના ભવિષ્યનો રોડમેપ સમાન વર્ષ 2026-27નું સુધારેલું બજેટ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરના મૂળ ડ્રાફ્ટમાં 15.27 કરોડનો વધારો કરી સ્ટેન્ડિંગ કમિટીએ 1,918.35 કરોડના લક્ષ્યાંક સાથે હાઈટેક સુવિધાઓ પર મહોર મારી છે. આ બજેટમાં વહીવટી પારદર્શિતાથી લઈને ટ્રાફિક મેનેજમેન્ટ સુધીના તમામ સ્તરે AI ટેકનોલોજીને હથિયાર બનાવવામાં આવી છે. 1918 કરોડના બજેટને મંજૂરીની મહોર ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા વર્ષ 2026-27ના વાર્ષિક બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી છે જેમાં ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પર ભાર મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા મૂળ બજેટમાં સ્થાયી સમિતિએ 15.27 કરોડનો વધારો સૂચવતા હવે બજેટનું કદ વધીને 1,918.35 કરોડ રૂપિયા થઈ ગયું છે. AI ટેકનોલોજીના સથવારે ગાંધીનગરનો કાયાકલ્પઆ વખતના બજેટમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રોજેક્ટ્સ રહ્યા છે જેના માધ્યમથી શહેરની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને વહીવટી પારદર્શિતાને એક નવા સ્તરે લઈ જવાનું આયોજન છે. ખાસ કરીને શહેરના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને એઆઈ એક્સપિરિયન્સ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવશે જેથી આખું શહેર સેન્સર અને સ્માર્ટ કેમેરાની સીધી દેખરેખ હેઠળ રહેશે. ટ્રાફિકની સ્થિતિથી આપોઆપ રેડ અને ગ્રીન સિગ્નલના ટાઇમીંગ નક્કી થશેશહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે કેમેરાની મદદથી વાહનોની ગીચતા માપીને સિગ્નલનો સમય આપોઆપ નક્કી કરશે. ગાંધીનગર શહેરમાં પ્રથમ તબક્કે કુલ 5 ટ્રાફિક જંક્શન પર આ પ્રકારની સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ સિસ્ટમ ટ્રાફિકની સ્થિતિ જોઇને આપોઆપ રેડ અને ગ્રીન સિગ્નલના ટાઇમીંગ નક્કી કરશે. તો પર્યાવરણની જાળવણી માટે હવે મોંઘા સાધનોને બદલે લો-કોસ્ટ સેન્સર લગાવીને હવાની શુદ્ધતાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના આંકડા નાગરિકો ડિજિટલ બોર્ડ પર લાઈવ જોઈ શકશે. ડ્રેનેજ લાઇન અને ચેમ્બરોમાં સેન્સર લાગશેજ્યારે પ્રજાની ફરિયાદોના ઝડપી નિકાલ માટે એઆઈ આધારિત ક્વીક રિસ્પોન્સ વ્હીકલની સુવિધા શરૂ કરાશે. જે 108 ની માફક ખાડા, સ્ટ્રીટ લાઈટ કે લીકેજ જેવી સમસ્યાઓ પર ત્વરિત એક્શન લેશે. એનાલિટીક સર્વેલન્સ સિસ્ટમ હેઠળ પાણીમાં સ્કાડા સિસ્ટમ લગાશે તે પ્રમાણે ડ્રેનેજ લાઇન અને ચેમ્બરોમાં સેન્સર લાગશે. ગટર ઉભરાવાની સ્થિતિમાં આ સિસ્ટમ તરત જ કંટ્રોલ રૂમમાં મેસેજ મોકલશે. જેથી ક્યા સ્થળે ગટર ઉભરાઇ છે તેની ચોક્કસ માહિતી કંટ્રોલ રૂમ મારફતે સંબંધિત કર્મચારીને પહોંચશે. જેના પગલે ત્વરિત કાર્યવાહી થઇ શકશે. પ્રોજેક્ટ સાઈટ પર ડિસ્પ્લેઆ સાથે જ સરકારી કામોમાં પારદર્શિતા લાવવા માટે ઇ પ્રગતિ એપ્લિકેશન હેઠળ જેતે પ્રોજેક્ટ સાઈટ પર ડિસ્પ્લે મૂકવામાં આવશે જેમાં કામની પ્રગતિના ફોટા અને વીડિયો મનપા અધિકારી,પદાધિકારી અને ખાસ કરીને નગરજનો પણ જોઈ શકશે. રોડ બનાવતી વખતે મિલિંગ ટેકનોલોજીનો ઉપયોગએજ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ગાંધીનગરના જૂના અને નવા સેક્ટરોમાં માર્ગોના નવીનીકરણ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે રોડ બનાવતી વખતે ગ્રાઉન્ડ લેવલ ઊંચું ન આવે તે માટે આધુનિક મિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે .જે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાં રાહત આપશે. તો રાયસણ, કોલવડા અને વાવોલ જેવા વિસ્તારોમાં આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વિકસાવવામાં આવશે. 14 નવા તળાવોનું ડેવલપમેન્ટ ને ઐતિહાસિક મીના બજારનું આધુનિકીકરણઆ ઉપરાંત 3,500 નવા આવાસ યોજનાની ભેટ સાથે મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર આપવાનો સંકલ્પ કરાયો છે. શહેરની સુંદરતામાં વધારો કરવા માટે 14 નવા તળાવોનું ડેવલપમેન્ટ અને ઐતિહાસિક મીના બજારના આધુનિકીકરણની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે. આગામી ગુરુવારે મળનારી સામાન્ય સભામાં આ બજેટને આખરી ઓપ આપીને અમલી બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:17 pm

તપોધન બ્રાહ્મણ સમાજના 45મા સમૂહ લગ્નોત્સવમાં બે યુગલોના લગ્ન:12 બટુકોના યજ્ઞોપવિત સંસ્કાર, 46મો ઉત્સવ સીતાપુરમાં યોજાશે

શ્રી ચુંવાળ વઢીયાર ઝાલાવાડ નળકાંઠા તપોધન બ્રાહ્મણ સમાજનો 45મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગ મહાવદ અગિયારસ, શુક્રવાર, 13 ફેબ્રુઆરીના રોજ યાત્રાધામ બહુચરાજી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે બે યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જ્યારે 12 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. સમૂહ લગ્ન સમારોહનું ઉદ્ઘાટન લખતરના મુકુંદભાઈ રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે સાણંદના રેખાબેન રાવલે પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય યજમાન દિલીપભાઈ રાતેજ, સુભદ્રાબેન મુજપુર, નિમિત્તભાઈ સુરેન્દ્રનગર, ધનેશ્વરભાઈ કમીજલા, ભાવિકભાઈ લખતર અને જયવંતસિંહ સાણંદ સહિત મેનેજિંગ ટ્રસ્ટી ગૌતમભાઈ રાવલ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ રાવલ, રવિશંકર રાવલ, પ્રમુખ પ્રદ્યુમનભાઈ રાવલ, ઉપપ્રમુખ સૂર્યકાંતભાઈ, મંત્રી સુરેશભાઈ, કોષાધ્યક્ષ મહેશભાઈ અને શિક્ષણ કન્વીનર સુરેશભાઈ ધોળકા ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પ્રમુખ વજુભાઈ, દિલીપભાઈ, રમેશભાઈ, પૂર્વ ટ્રસ્ટી પાર્થ રાવલ, યુવા પ્રમુખ વિજયભાઈ, મહિલા કન્વીનર વર્ષાબેન અને હીનાબેન જોષી, તપોધન મહાસભાના દિનાબેન, માનવ અધિકાર પંચના સભ્ય બી.એસ. ઉપાધ્યાય અને મહાસભાના પૂર્વ મંત્રી જશુભાઈ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રહશાંતિના મુખ્ય યજમાન તરીકે સીતાપુરના કિશન લલિતકુમારે સેવા આપી હતી, જ્યારે લખતર નિવાસી ઇન્દુબેન મુકુન્દરાય પરિવારે ભોજન દાતા તરીકેનો લાભ લીધો હતો. સમાજ અને અન્ય દાતાઓ દ્વારા નવદંપતીઓને સોના-ચાંદીના દાગીના સહિત ઘર વપરાશની 69 જેટલી ભેટો આપવામાં આવી હતી, જ્યારે બટુકોને સાત જેટલી ભેટ સોગાદો અપાઈ હતી. સ્વ. પુષ્પાબેન રમણલાલ રાવલ પરિવારે ચા, કોફી અને અલ્પાહારની વ્યવસ્થા કરી હતી, જ્યારે મુકેશકુમાર રાવલે મિનરલ વોટરની સેવા પૂરી પાડી હતી. આ ઉપરાંત, રમેશભાઈ પ્રહલાદભાઈ નદાસાએ બેચરાજી ખાતેના સમાજના ભવન માટે રૂ. અઢી લાખનું દાન જાહેર કર્યું હતું અને વર્ષ 2029ના સમૂહ લગ્નમાં ભોજન દાતા થવાની પણ જાહેરાત કરી હતી. સમાજ દ્વારા આગામી 46મો સમૂહ લગ્નોત્સવ 22 ફેબ્રુઆરી, 2027ના રોજ સીતાપુર ખાતે યોજવા માટે આમંત્રણ મળ્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:02 pm

BCCI અને BCA સંપૂર્ણ ખાનગી બોડી કહી શકાય નહીં:બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી 15 ફેબ્રુઆરીએ યોજાશે પણ હાઈકોર્ટની મંજૂરી વગર પરિણામ જાહેર થશે નહીં

ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. હોદ્દા પર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરીબરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ રહી છે. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટના વર્ષ 2022ના ચુકાદા મુજબ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી, હોદ્દા પર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. જેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નથી. બરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીંસામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબૂ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા પર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. આ કેસને મેરીટ પર નક્કી કરવો જરૂરી છેગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે, BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી પર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારી અવગણ્યા છે. આ કેસને મેરીટ પર નક્કી કરવો જરૂરી છે. જોકે, ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ તેની ઉપર અત્યારે સ્ટે આપી શકાય તેમ નથી. જો અરજીને નકારી દેવામાં આવે તો તેનો હેતુ માર્યો જાય તેમ છે. હાઇકોર્ટમાં આ મુદ્દે વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશેઆખી હાઇકોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે, 15 ફેબ્રુઆરીના રોજ યોજનારી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સમય અનુસાર જ યોજાશે. તેમાં અરજીમાં સામેલ પક્ષકારો ભાગ પણ લઈ શકશે. પરંતુ હાઇકોર્ટની પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર કરી શકાશે નહીં. બેલેટ પેપરને સુરક્ષિત રીતે રાખવાના રહેશે. હાઇકોર્ટમાં આ મુદ્દે વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:59 pm

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સાળંગપુર હનુમાનજી દર્શન કર્યા:મંદિર શિખર પર ધજા ચઢાવી, સંતોએ આશીર્વાદ આપ્યા

રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. તેમણે હનુમાનજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી. મંત્રીએ મંદિરના શિખર પર ધજા પણ ચઢાવી હતી. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સાળંગપુરની મુલાકાત લીધી હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કર્યા બાદ તેમણે મંદિરના શિખર પર ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ મંત્રી જીતુ વાઘાણીને ફૂલહાર પહેરાવી રક્ષાસૂત્ર બાંધ્યું હતું. સ્વામીજીએ તેમને મંગલ આશીર્વાદ પણ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:58 pm

Editor's View: એકઝાટકે પાકિસ્તાન ઘૂંટણિયે:ક્રિકેટમાં કાવાદાવા કરવા જતાં કાંડ થઈ ગયો, જાણો T-20 વર્લ્ડકપના ડખાની અંદરની વાત

બાંગ્લાદેશમાં સત્તાપલટો અને પાકિસ્તાનનો છેલ્લી ઘડીએ યુ ટર્ન, આ માત્ર ક્રિકેટના સમાચાર નથી; પણ તમારા ખિસ્સા અને દેશના વર્ચસ્વની લડાઈ છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટથી લઈને અમદાવાદના શેરબજાર સુધી, 22 યાર્ડની પીચ પર રમાતા આ જીઓપોલિટિકલ ક્રિકેટિંગ પોકરની સીધી અસર પડે છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે હાથ મિલાવી ભારતને એકલું પાડવા દાવ ખેલ્યો, ત્યારે ICC એ 2400 કરોડનો આર્થિક ફાંસો બતાવીને તેમને ઘૂંટણીયે પાડી દીધા. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી કાઢવાથી શરૂ થયેલી આ ચિનગારી કેવી રીતે ગ્લોબલ બ્રોડકાસ્ટિંગના અબજો ડોલરનો ભડકો કરી શકે? રમત કેવી રીતે રાજનીતિ સાથે જોડાઈ અને ભારત કેવી રીતે વિશ્વ ક્રિકેટનું પાવર સેન્ટર બની ચૂક્યું છે? આજે ભારત પાકિસ્તાનની મેચ પહેલા શું ખીચડી રંધાઈ ગઈ તેની અંદરની અને અજાણી વાતો કરીશું. નમસ્કાર... ક્રિકેટની દુનિયા સાથે આપણે એ પણ સમજવું પડે કે બાંગ્લાદેશ ખાલી આપણો પાડોશી દેશ જ નથી તે સુરતના કાપડ માર્કેટનો સૌથી મોટો કોમ્પિટિટર પણ છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ સુરક્ષાનું બહાનું આપીને ભારત આવવાની ના પાડે ત્યારે તે ખાલી ક્રિકેટના જ કિટ્ટી નથી કરતું પણ નવી દિલ્લી સામે ડિપ્લોમસીનો મોરચો પણ માંડે છે. વચ્ચે પડેલા પાકિસ્તાને જે રીતે છેલ્લી ઘડીએ મજબૂરીમાં ઘૂંટણીએ પડીને યુ ટર્ન લીધો છે તેની પાછળ કોઈ ખેલદિલી નહીં આર્થિક ધબડકો જવાબદાર છે. ગુજરાતી જે રીતે સોદો કરતા પહેલા રિટર્ન ઓફ ઈનવેસ્ટમેન્ટ એટલે કે નફો જુએ છે તેમ પાકિસ્તાને પણ સમજ્યું કે ભારત સામેની મેચ ન રમવી તે આર્થિક આત્મહત્યા તો છે જ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નામોનિશાન ન રહે તેવું જોખમ પણ છે. મુસ્તફિઝુરથી શરૂ થયો મહાભડકોઆખી વાતની શરૂઆત મુસ્તફિઝુર રહેમાન નામના બાંગ્લાદેશી ખેલાડીથી શરૂ થઈ. જેને ટાઈમલાઈનથી સમજીએ. બાંગ્લાદેશનો દાવ: ચૂંટણી, સેન્ટિમેન્ટ અને ICCનું વચનઆ બધી વાત આપણે જાણીએ છીએ. આપણે આ મુદ્દા વચ્ચે શું ખીચડી રંધાઈ રહી છે જેની સામાન્ય લોકોને નથી ખબર તેની વાત કરવી છે. આ ડખાના કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો જીઓ પોલિટિકલ મતભેદ વધી ગયો છે. બાંગ્લાદેશમાં ચૂંટણી ચાલી રહી છે જેમાં તેણે ભારત વિરોધી સેન્ટિમેન્ટનો માહોલ ઉભો કર્યો છે. જો બાંગ્લાદેશ મેચ રમે તો ભારત વિરોધી માહોલનો ફુગ્ગો ફૂટી જાય. અને જો આવું થાય તો બાંગ્લાદેશની પાર્ટીને ચૂંટણીમાં ભારે નુકસાન થઈ શકે તેમ હતું. માટે બાંગ્લાદેશે આ ટી ટ્વેન્ટી વર્લ્ડકપ રમવાની ના પાડી છે. ચૂંટણી પૂરી થઈ જશે પછી તો બાંગ્લાદેશ મેચ રમશે જ. કારણ કે લાહોરમાં થયેલી મીટિંગ મુજબ બાંગ્લાદેશને ICCએ 2031 પહેલાં યજમાન પદના અધિકારો આપવાનું વચન આપ્યું છે. એવી મોટી ઈવેન્ટમાં તો ICC અંડર-19 વર્લ્ડ કપ થઈ શકે એમ છે. પાકિસ્તાનને 316 કરોડનો કાનૂની ફાંસોપાકિસ્તાને ભારત સામેની મેચ ન રમવાનો નિર્ણય કર્યો ત્યારે બ્રોડકાસ્ટર્સે ICCને અને PCBને લીગલ અને ફાઈનાન્શિયલ ચેતવણીઓ આપી હતી. બ્રોડકાસ્ટર્સે મેચની જવાબદારીઓ પૂરી ન કરવાના કારણે 316 કરોડનો મુકદમો ચલાવવાની PCBને ધમકી આપી હતી. કારણ કે જો પાકિસ્તાન ભારત સામે મેચ ન રમે તો બ્રોડકાસ્ટર્સને એક અંદાજીત આંકડા મુજબ લગભગ 200થી 250 કરોડ રૂપિયાનું નુકસાન થાય તેવી સંભાવના હતી. PCBની કટોકટી: 2400 કરોડનો દંડ અને દેવાળિયુંમાટે ICCએ પાકિસ્તાનને ધમકી આપી કે જો મેચ નહીં રમો તો ICC તમને એટલે કે PCBને વર્ષે 35 મિલિયન ડોલરની સહાય આપે છે તે નહીં આપે. PSLના રાઈટ્સ પણ લઈ લેવામાં આવશે. માત્ર આટલું જ નહીં MPAના ભંગ બદલ 600 કરોડનો અલગથી દંડ લગાડવાની ICCએ PCBને કાનૂની ધમકી આપી હતી. ટૂંકમાં જો પાકિસ્તાન ભારત સામે મેચ ન રમત તો તેને કૂલ મળીને અંદાજે 2400 કરોડનું ગ્રાન્ટ, ટિકિટ અને બ્રોડકાસ્ટિંગનું નુકસાન થવાનું હતું. દેશ અને PCBની કંગાળ હાલતના કારણે પાકિસ્તાન પોતાની જીદ છોડી અને શ્રીલંકામાં 15 ફેબ્રુઆરીએ મેચ હોવાના કારણે મુંબઈ-કોલંબોના એરલાઈન્સના ભાડામાં 10 હજારથી વધુનો વધારો થયો. પાકિસ્તાનનો લિગલ ડ્રામા અને ICCની ફટકાબાજીજાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાને મેચ ન રમવા માટે લિગલ લુપહોલ્સનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાને ફોર્સ મેજ્યુર ગેમ્બલનો હવાલો ટાંકીને કહ્યું હતું કે અમને અમારી સરકારે આદેશ આપ્યો છે. અમને ખબર ન હતી કે સરકાર આવો આદેશ આપશે. માટે અમે ભારત સામે મેચ નહીં રમીએ બાકી સામે રમીશું. ત્યારે ICCએ PCBને ચોખ્ખું સંભળાવી દીધું કે તમે જે નિયમોનો હવાલો આપો છે તે નિયમો મુજબ તમે કોઈ એક દેશ સામે ન રમો અને બીજા સાથે રમો તેવો MPA કોઈ નિયમ જ નથી. અંતે પાકિસ્તાનને જે લૂપહોલ્સને ટાંક્યા તેના જ આધારે તેમને ભોંઠા પડવું પડ્યું. પાકિસ્તાનનો અસલી એજન્ડા: ઢાલ બાંગ્લાદેશની, ફાયદો પોતાનોઘણા બધા એક્સપર્ટનું કહેવું છે કે ભારત-બાંગ્લાદેશ વિવાદને પાકિસ્તાને પોતાના ફાયદા માટે ઢાલ તરીકે વાપર્યો. પાકિસ્તાને એવું દેખાડ્યું કે તે બાંગ્લાદેશ સાથે ઉભું છે પણ ખરેખર તો પાકિસ્તાનને પોતાનો ફાયદો નજર આવતો હતો. પણ ICCએ આખી મેટરને બખુબી હેન્ડલ કરી. બાંગ્લાદેશમાં ચૂંટણી હોવાના કારણે અને રાજકીય પ્રેશરના કારણે ટી ટ્વેન્ટી વર્લ્ડકપ 2026 ન રમવાની વાત કરી. ICC કોઈ પણ પેનાલ્ટી વગર બાંગ્લાદેશને ન રમવા માટે માની ગયું છે. ICC પાસે તેના બંધારણના કલમ 2.4 હેઠળ જવાબદારીઓ ન માનવાના કારણે અથવા બિન ક્રિકેટિંગ કારણે વિવાદ કરે કે કાયદાનું ઉલ્લંઘન કરે તો સસ્પેન્ડ કરી શકે છે. વૈશ્વિક ક્રિકેટ બજારમાં કબજો હોવા છતાં ICC BCCI સામે પણ આવું કરવાની સત્તા ધરાવે છે. તમે સાંભળ્યું હશે કે જો પાકિસ્તાન ભારત સામે મેચ ન રમ્યું હોત તો પીસીબી કંગાળ થઈ જાત... કેવી રીતે તેના માટે આપણે ICC, BCCI અને PCBના રેવેન્યુ મોડલ સમજવા પડશે. આંકડા સાક્ષી પૂરે છે કે પાકિસ્તાને 9 ફેબ્રુઆરીએ જે U-ટર્ન લીધો, તે કોઈ ડિપ્લોમેટિક સમજદારી નહીં પણ આર્થિક પાયમાલીથી બચવાનો એકમાત્ર રસ્તો હતો. જ્યારે તમારી કુલ સંપત્તિ કરતા દંડ 4 ગણો મોટો હોય, ત્યારે મેદાનમાં ઉતરવું એ જ બહાદુરી ગણાય છે. હવે વાત કરીએ કે ભારતની ICCને વિનંતી બાદ આપણી અને પાકિસ્તાનની મેચ ન્યૂટ્રલ ગ્રાઉન્ડ પર થઈ રહી છે તો બાંગ્લાદેશને ICCએ કેમ ના પાડી? વાત જાણે એમ છે કે 2026ના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની કૂલ કમાણીના અંદાજે 20 ટકા રકમ તો ભારત પાકિસ્તાનની મેચ કમાવીને આપે છે. જો પાકિસ્તાન ભારત સામે મેચ રમવાની ના પાડે તો ICC, બ્રોડકાસ્ટર્સ અને એડવર્ટિઝમેન્ટ કંપનીઓને ભારે નુકસાન થાય. જો પાકિસ્તાન મેચ ન રમે તો એક અંદાજ મુજબ ICCને 2200થી 4500 કરોડનું નુકસાન થઈ શકે. ભારત પાકિસ્તાન મેચ સમયે 10 સેકન્ડની એડ અંદાજે 40 લાખ રૂપિયામાં વેચાય છે. એટલે નિયમો અને ICCના દબાણમાં પાકિસ્તાન ઈચ્છા ન હોવા છતાં પણ ભારત સામે રમશે, જેનાથી ICCને અંદાજે 174 મિલિયનનું નુકસાન બચી જશે. એક રીતે પાકિસ્તાન ICC પર દબાણ કરવા ઈચ્છતું હતું પણ તે બાંગ્લાદેશનું સમર્થન કરતા પહેલા ભૂલી ગયું હતું કે ક્રિકેટની દુનિયામાં હુકુમનો એક્કો હાલ ભારત પાસે છે. 10 સેકન્ડના 40 લાખ અને ન્યૂટ્રલ ગ્રાઉન્ડICC અને BCCI પાસે 3 અબજ ડોલરના મીડિયા રાઈટ્સ છે. ICCએ પાકિસ્તાન અને બાંગ્લાદેશને મુર્ખામી કરતા અટકાવવા મીટિંગ ગોઠવી. ICCએ પાકિસ્તાનને ચોખ્ખું સંભળાવી દીધું કે જો તમે ભારત સામે નહીં રમો તો તમારે બ્રોડકાસ્ટર્સને 2,400 કરોડ રૂપિયા આપવા પડશે. આટલી મોટી રકમ સાંભળીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકારના હોંશ ઉડી ગયા. પાકિસ્તાન આટલો મોટો આર્થિક ફટકો સહન કરી શકે તેમ ન હતો. છેલ્લે... પાકિસ્તાને પોતાની જીદ પાછી ખેંચી અને દુનિયા સામે હાસ્યાંસ્પદ બનીને ભારત સામે ન રમવાનો નિર્ણય પાછો ખેંચ્યો. 1996 vs 2026 – સમયનો પલટોજો કે આવું પહેલીવાર નથી બન્યું. 1996નો વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો ત્યારે શ્રીલંકામાં બોમ્બ ધડાકા થયા હતા. જાનને જોખમ હોવાના કારણે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકા જવાની ના પાડી દીધી. ત્યારે ભારત પાકિસ્તાન શ્રીલંકાની પડખે ઉભા રહ્યા હતા અને ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ ન રમવાના કારણે શ્રીલંકાને જીત મળી હતી. આજે 30 વર્ષ પછી સમય બદલાઈ ગયો છે. ત્યારે ક્રિકેટમાં એટલો રૂપિયો ન હતો જેટલો આજે છે. ત્યારે ભારતનો એટલો દબદબો ન હતો જેટલો આજે છે. ત્યારે ક્રિકેટ ડિપ્લોમસીથી યુદ્ધ રોકાતા હતા પણ આજે ભારત ક્રિકેટમાં એક મજબૂત ધરી પર બેઠું છે. જ્યારે તમારી નેટવર્થ સામેવાળા કરતા 45 ગણી ઓછી હોય, દંડની રકમ કૂલ સંપત્તિથી ચાર ગણી હોય, ત્યારે તમે બહિષ્કારની ધમકી આપો એ ગુજરાતી વેપારની દ્રષ્ટિએ મૂર્ખામી કહેવાય. પાકિસ્તાને આ સમજતા વાર લાગી, પણ જ્યારે બેંક બેલેન્સ ખાલી થવાની તૈયારી હતી ત્યારે અક્કલ ઠેકાણે આવી. વેસ્ટર્ન હિપોક્રસી અને માઈકલ આર્થટનક્રિકેટ કોમેન્ટેટર અને ઈંગ્લેન્ડના પૂર્વ કેમ્પટ માઈકલ આર્થટને ધ ગાર્ડિયનમાં કહ્યું હતું કે ભારત ક્રિકેટને હાઈજેક કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે ક્રિકેટ હવે ગ્લોબલ નહીં પણ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટની જાગીર બની ગયું છે. બ્રાન્ડ ઈન્ડિયા: હેલિકોપ્ટર શોટથી ગ્લોબલ કન્ટ્રોલજુઓ સીધો હિસાબ છે... અત્યાર સુધી લોર્ડ્સ અને મેલબોર્ન ક્રિકેટના નિયમો નક્કી કરતા હતા. ત્યારે તેમને મોનોપોલી નહોતી દેખાતી, આજે જ્યારે ક્રિકેટની આર્થિક શક્તિમાં ભારત અડિખમ ઉભું છે ત્યારે તેમને હાઈપર કેપિટાલિઝમ દેખાય છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને માઈકલ આર્થટને એ સમજવું પડશે કે ભારત વગરની ક્રિકેટ એન્જિન વગરની ટ્રેન જેવું છે. જો બાંગ્લાદેશ કે પાકિસ્તાન ડિપ્લોમસીમાં રમતને ઘૂસેડશે તો તેમનું ક્રિકેટ પાતાળમાં સમાઈ જશે. વેસ્ટનું અત્યારે એવું કહેવું છે કે રાજકારણને રમતગમતથી દૂર રાખવું જોઈએ ત્યારે તે ભૂલે છે કે રશિયા યુક્રેન યુદ્ધ વખતે તેમણે જ રશિયન ખેલાડીઓ પર પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારે તેમની સૂફિયાણી સલાહ ક્યાં જતી રહી હતી? તે એક મોટો સવાલ છે. ક્રિકેટમાં ભારતના હેલિકોપ્ટર શોટથી ગ્લોબલ કન્ટ્રોલખેર... આજે જ્યારે ભારત પાકિસ્તાન કે બાંગ્લાદેશ સામે કડક વલણ અપનાવે છે ત્યારે તે વાત માત્ર ક્રિકેટ પૂરતી સિમિત નથી, તે એક ડિપ્લોમેટિક મેસેજ પણ છે. આપણે દુનિયાને ક્રિકેટથી દેખાડી દીધું છે કે ભારત માત્ર બાઉન્ડ્રી બહાર છગ્ગા જ નથી મારતું, જરૂર પડે ત્યારે પૂરી ટુર્નામેન્ટનું કન્ટ્રોલ પણ ફેરવી શકે છે. આ ભારત ડિફેન્સિવ મોડમાં નહીં પણ ફ્રન્ટ ફૂટ પર ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ મારે છે. વાત માત્ર ક્રિકેટ પૂરતી નથી, વાત ભારત બ્રાન્ડની છે. જો ભારત પાકિસ્તાનની મેચ રદ થઈ હોય તો એડવર્ટાઈઝર્સને કરોડો રૂપિયાનું ગાબડું પડ્યું હોત. ત્યારે ગ્લોબલ અને ભારતીય બ્રાન્ડ્ઝ ક્રિકેટમાં એટલા માટે પૈસા રોકે છે કારણ કે તેમને કરોડો ભારતીય લોકોની વ્યૂઅરશીપ જોઈએ છે. જો ભારત ક્રિકેટમાંથી નીકળી જાય તો વિદેશી કંપનીઓના હાથમાંથી 150 કરોડનું માર્કેટ છૂટી જાય. ટૂંકમાં વાત માત્ર રમત પૂરતી નથી પણ ગ્લોબલ લેવલે ભારતની બ્રાન્ડને ટકાવી રાખવા માટેની છે. એક જમાનો હતો જ્યારે એક જ દેશ આખી ટૂર્નામેન્ટ હોસ્ટ કરતો હતો. પણ હવે સમય બદલાયો છે. યજમાન ગમે તે હોય ભારત-પાકિસ્તાનની હાઈફાઈ ગેમ શ્રીલંકા કે દુબઈમાં જ રમાય છે. આ ન્યૂ નોર્મલ છે. બાંગ્લાદેશે આવી જીદ પકડી હતી પણ બાંગ્લાદેશના કોઈ પ્લેયરના જીવને ભારતમાં જોખમ નથી. માટે જ ICCએ બાંગ્લાદેશને જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી હટાવી દીધું. ભવિષ્યમાં 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે 2031નો વર્લ્ડ કપ, ભારતને હવે માનસિક રીતે તૈયાર રહેવું પડશે કે ક્રિકેટના મેદાન બદલાઈ શકે પણ રમતનું આર્થિક ચક્ર અટકવું ન જોઈએ. ભારતનો બહિષ્કાર એટલે પાકિસ્તાનની બેકારબાંગ્લાદેશ અને પાકિસ્તાનની જીદથી નજીકના સમયમાં અમુક બદલાવો જોવા મળી શકે છે. પહેલું તો હશે BCCIનું ક્રિકેટની દુનિયામાં વર્ચસ્વ. બીજું કે જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની નીતિઓ નહીં બદલે તો તેઓ એકલા પડી જશે અને પોતાના દેશની જેમ તેમનું ક્રિકેટ બોર્ડ પણ નાદાર થઈ જશે. ક્રિકેટમાં દુનિયાનો ડંકો વાગે છે. માટે ઓલિમ્પિક જેવી ગેમ્સમાં ક્રિકેટ આવી જાય તો બની શકે કે ભારતની શરતો પર ઘણું બધું થઈ શકે તેમ છે. ભારત માટે અસ્મિતા પહેલા, ક્રિકેટ પછીભારતની કડકાઈ અહમ નથી પણ અનુશાસન છે. ભારત જાણે છે કે રમત શાંતિનો સંદેશ છે, પણ જો પાડોશી આપણા ઘરમાં કાંકરા ફેંકશે તો તેની સાથે જોવા જેવી થશે. આપણે મુસ્તફિઝુર રહેમાન કે પાકિસ્તાની ટીમને ક્લિયર મેસેજ આપી દીધો છે કે પ્રેમથી રહેશો તો પીચ તમારી છે પણ જો નફરત ફેલાવશો તો પેવેલિયન પણ નસીબ નહીં હોય. અત્યારે ભારતની અસ્મિતા પહેલા આવે છે અને સ્કોરબોર્ડ પછી... અને છેલ્લે... ટી-20 વર્લ્ડકપમાંથી બહાર કાઢી મૂકાયા પછી હવે બાંગલાદેશની સાન ઠેકાણે આવી છે. બાંગલાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ “બુલબુલ”એ હવે કહ્યું છે કે ભારત-પાકની 15મીની મેચ આઇસ બ્રેકર બનશે. એશિયાના દેશોમાં હવે પહેલાં જેવો ભાઇચારો અમે ઇચ્છીએ છીએ અને રમવા બધા સાથે ક્રિકેટ રમવા માગીએ છીએ. સુનિલ ગાવસ્કરે તો પાકિસ્તાનનો ઉધડો લેતા કહ્યું કે જો પાકિસ્તાન ખરેખર બાંગલાદેશને સપોર્ટ કરવા માંગતું હતું તો તેણે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર જ કરવો જોઇએ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર.(રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:56 pm

ગોધરા કોમર્સ કોલેજમાં 'બજેટ ટોક @ કેમ્પસ':CA પરેશ રામનાણીએ વિદ્યાર્થીઓને બજેટ-2026 સમજાવ્યું

ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બજેટ ટોક @ કેમ્પસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોધરાના યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરેશભાઈ રામનાણીએ વિદ્યાર્થીઓ સાથે બજેટ-2026ની વિવિધ જોગવાઈઓ પર ચર્ચા કરી. રામનાણીએ સરકારના 'મિશન વિકસિત ભારત 2047'ને સાર્થક કરતા બજેટની વિસ્તૃત સમજૂતી આપી. તેમણે શિક્ષણ, યુવાઓ, રોજગારી સંરક્ષણ, આર્થિક વિકાસ અને દેશની જીડીપી વૃદ્ધિ જેવી બાબતોને સરળ શબ્દોમાં સમજાવી. વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાન દ્વારા બજેટની જોગવાઈઓને પ્રથમવાર ઊંડાણપૂર્વક સમજવાનો સંતોષ વ્યક્ત કર્યો. આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી. પટેલે પણ હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને બજેટની જોગવાઈઓ અંગે સરળ ઉદાહરણો સાથે સમજૂતી આપી. રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પ્રસિદ્ધ એડવોકેટ શ્રી ગોપાલસિંહજી સોલંકીએ બજેટને ક્રાંતિકારી ગણાવ્યું હતું. તેમણે બજેટની વિવિધ જોગવાઈઓની વિસ્તૃત છણાવટ કરી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:55 pm

અમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારો જાહેર:અતુલ કાનાણીએ વિવિધ મોરચાના પદાધિકારીઓની વરણી કરી

અમરેલી જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સંગઠનને મજબૂત કરવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ નિમણૂકોની અપેક્ષા હતી, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અતુલ કાનાણીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ વિવિધ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને આ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ધોરાજીયા, મનોજભાઈ મહીડા, શરદભાઈ પંડ્યા, દીપકભાઈ વઘાસિયા, ગીતાબેન કારીયા, રમાબેન હિરપરા, દિલીપભાઈ જોષી અને ધર્મેન્દ્રગીરી ગૌસ્વામીની વરણી કરવામાં આવી છે. મહામંત્રી તરીકે મયુરભાઈ માંજરીયા, ચેતનભાઈ શિયાળ અને રાજુભાઇ ભૂતેયાની નિમણૂક થઈ છે. મંત્રીઓમાં પ્રવીણભાઈ સાવજ, પ્રાગજીભાઈ વસાણી, રંજનબેન ડાભી, કોમલબેન બારૈયા, લીલાબેન ભુવા, બ્રિજેશભાઈ કૃરંદલે, હીનાબેન નાઢા અને ક્રિષ્નાબેન મકવાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહેશભાઈ જાવીયાને કોષાધ્યક્ષ, મહેન્દ્રભાઈ ચાવડાને કાર્યાલય મંત્રી, દિવ્યેશભાઈ વેકરીયાને સોશ્યલ મીડિયા વિભાગ, રાકેશભાઈ નાકરાણીને આઇટી વિભાગ અને વિપુલભાઈ ભટ્ટીને મીડિયા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મોરચાના હોદ્દેદારોમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે ચેતનભાઈ ધાનાણી અને મહામંત્રી તરીકે શિવાગભાઈ ત્રિવેદી તથા રોમિતભાઈ કોટડીયાની નિમણૂક થઈ છે. જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન ગોંડલીયા બન્યા છે, જ્યારે નયનાબેન કાપડિયા અને સરોજબેન દેવમુરારી મહામંત્રી તરીકે સેવા આપશે. જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરીયા અને મહામંત્રી હરસુરભાઈ લાખણોત્રા તથા રણજીતભાઈ વાળા છે. બક્ષીપંચ મોરચા (OBC)ના પ્રમુખ તરીકે સાગરભાઈ સરવૈયા અને મહામંત્રી તરીકે સંજયભાઈ લાખાણી તથા વનરાજભાઈ વાળાની વરણી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપભાઈ સોલંકી અને મહામંત્રી ભીખાભાઇ સરવૈયા તથા મુકેશ બગડા બન્યા છે. લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ કચરા અને મહામંત્રી સબીરભાઈ મલેક તથા સમીરભાઈ કનોજીયા સહિત અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:41 pm

ગઢડા શહેરમાં લાગશે CCTV કેમેરા:નગરપાલિકાએ 1 કરોડના પ્રોજેક્ટનો ઠરાવ કર્યો, પોલીસ સ્ટેશન ખાતે બનશે કન્ટ્રોલ રૂમ

સૌરાષ્ટ્રના મહત્વના તીર્થધામ ગઢડામાં હાલ એક પણ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ નથી. 40 હજારથી વધુ વસ્તી અને 76 ગામો ધરાવતા આ મોટા તાલુકામાં ગુનાખોરી વધવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરીજનો અને વિપક્ષ દ્વારા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી લગાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ દરમિયાન, ગઢડા નગરપાલિકાએ એક કરોડ રૂપિયાના સીસીટીવી પ્રોજેક્ટનો ઠરાવ પણ પસાર કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ હોવાથી ગઢડામાં વર્ષભર હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. શહેરમાં બે મોટા મંદિરો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા માત્ર માનવીય દેખરેખ પર જ નિર્ભર છે. બોટાદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો હોવા છતાં, સીસીટીવી કેમેરાના અભાવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ માટે જાણે મોકળું મેદાન બની ગયું છે. શહેરીજનો અને વિપક્ષ નેતા મીત ડાંગર દ્વારા બોટાદ રોડ, ભાવનગર રોડ, જસદણ રોડ, ટાવર રોડ, નવા મંદિર રોડ, બોટાદના ઝાંપે, માણેક ચોક, હાઈસ્કુલ ચાર રસ્તા, જુના મંદિર રોડ, વાઢાળા ચોક અને શાકમાર્કેટ સહિત શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી મુકવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગણીઓ વચ્ચે, ગઢડા નગરપાલિકા દ્વારા રૂ.1 કરોડના સીસીટીવી નેટવર્ક માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર ડી. જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ શહેરના તમામ વિસ્તારો, ધાર્મિક સ્થળો, હોસ્પિટલ-માર્કેટ સહિતના મુખ્ય રસ્તાઓ પર આધુનિક સીસીટીવી સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમનો કન્ટ્રોલ રૂમ સીધો પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:40 pm

અમીરગઢ કોલેજમાં બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:બનાસ-11 ટીમ ચેમ્પિયન બની, 4 ટીમોએ ભાગ લીધો

સરકારી વિનયન કોલેજ, અમીરગઢ ખાતે તા. 12 અને 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બનાસ-11 ટીમ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફમિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ડૉ. મહેશ પ્રજાપતિ, ડૉ. નરેશ જોશી અને પ્રા. ફરીના શેખે કોમેન્ટ્રી દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ડૉ. એન.કે. સોનારાના માર્ગદર્શન હેઠળ ખેલકૂદ ધારાના કો-ઓર્ડિનેટર ડૉ. ભાવેશ કે. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:35 pm

સુરેન્દ્રનગરમાં બે મુસાફરોની ખોવાયેલી બેગ મળી:નેત્રમ કેમેરાની મદદથી પોલીસે મૂળ માલિકોને પરત કરી

સુરેન્દ્રનગર પોલીસે 'નેત્રમ' સીસીટીવી કેમેરાની મદદથી બે મુસાફરોની ખોવાયેલી બેગ શોધી કાઢી તેમને પરત કરી છે. આ કામગીરી દ્વારા પોલીસે પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રથમ ઘટનામાં, ભાવનાબેન વઢવાણ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી સુરેન્દ્રનગરની શિવ હોટેલ ખાતે ઉતર્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ બેગમાં અગત્યના દસ્તાવેજો, એટીએમ કાર્ડ અને રૂ. 2,000 રોકડા હતા. ભાવનાબેને 'નેત્રમ' ખાતે જાણ કરતા, સીસીટીવી ફૂટેજની મદદથી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-AV-5332 ઓળખી કાઢવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે રિક્ષાચાલકનો સંપર્ક કરીને ભાવનાબેનને તેમની બેગ તમામ કિંમતી સામાન સાથે પરત કરી. બીજી ઘટના મોરબીના મોહનભાઈ બહાદુરભાઈ લીંબડીયા સાથે બની હતી, જેઓ લગ્ન પ્રસંગમાં મોરબીથી સુરેન્દ્રનગર આવ્યા હતા. તેમની નવા કપડાં ભરેલી બેગ જવાહર ચોકથી પતરાવાળી વચ્ચેના રસ્તા પર પડી ગઈ હતી. આ અંગે 'નેત્રમ'ને જાણ થતા, સીસીટીવી કેમેરાની મદદથી મોહનભાઈના રૂટ પર તપાસ કરવામાં આવી. બેગ લેનાર રિક્ષાચાલકને શોધી તેનો સંપર્ક કરીને મોહનભાઈને પણ તેમની બેગ સફળતાપૂર્વક પરત મળી. ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. પરમારની સૂચનાથી 'નેત્રમ' સુરેન્દ્રનગરની ટીમે આ બંને કિસ્સાઓમાં સીસીટીવીની મદદથી ઝડપી કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે. આ અભિયાન અંતર્ગત ખોવાયેલી કિંમતી વસ્તુઓ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:31 pm

સુરેન્દ્રનગરના બાળકને લોસ એન્જલસમાં મળ્યું નવું ઘર:સરકારી સંસ્થા દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય દત્તક પ્રક્રિયા સફળ

સુરેન્દ્રનગર જિલ્લા માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે, જ્યાં એક માસૂમ બાળકને સાત સમંદર પાર કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં એક નવું ઘર અને પ્રેમાળ પરિવાર મળ્યો છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નેજા હેઠળ આ સફળતા પ્રાપ્ત થઈ છે, જે એક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડે છે. સુરેન્દ્રનગરની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થા માટે 13 ફેબ્રુઆરી, 2026નો દિવસ ઐતિહાસિક બન્યો છે. જિલ્લામાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલા એક નવજાત શિશુને બાળ કલ્યાણ સમિતિના આદેશથી ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવ્યો હતો. આ સંસ્થામાંથી અત્યાર સુધી અનેક બાળકો દેશના વિવિધ પરિવારોમાં દત્તક ગયા છે, પરંતુ આ પ્રથમ અવસર છે જ્યારે કોઈ બાળક આંતરરાષ્ટ્રીય સ્તરે વિદેશી ભૂમિ પર નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. બે વર્ષ સુધી સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓએ બાળકને ઉછેર્યા બાદ તેને વિદાય આપી હતી. દત્તક વિધાનની પ્રક્રિયા માત્ર ભાવનાત્મક જ નહીં, પરંતુ અત્યંત જટિલ અને કાયદેસરની પ્રક્રિયા છે. ધી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-2015 અને એડોપ્શન રેગ્યુલેશન-2022 હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) દ્વારા ઓનલાઇન પોર્ટલ મારફતે પારદર્શક રીતે નોંધણી કરવામાં આવી હતી. કેલિફોર્નિયા સ્થિત NRI દંપતીએ જ્યારે આ બાળકને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે AFAA (ઓથોરાઇઝ્ડ ફોરેન એડોપ્શન એજન્સી) દ્વારા તેમની આર્થિક, સામાજિક અને માનસિક સજ્જતાની કડક તપાસ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં બાળકના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય દત્તકની પ્રક્રિયામાં સુરક્ષા અને કાયદેસરતાના અનેક સ્તરો હોય છે. CARA દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ જ્યારે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) આપવામાં આવ્યું, ત્યારે સ્થાનિક સ્તરે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા કાયદેસરનો આખરી આદેશ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.વી. ડાભી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકાના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમે રાત-દિવસ મહેનત કરી હતી, જેથી બાળકને કાયદેસર રીતે સુરક્ષિત પરિવાર મળી શકે. સંસ્થાના મેનેજર રંજનબેન ડાભી અને તેમની ટીમે બાળકની કસ્ટડી સોંપતી વખતે તમામ જરૂરી તબીબી અને કાયદાકીય અહેવાલો દંપતીને સુપ્રત કર્યા હતા.આ ઘટના એ વાતની પ્રતીતિ કરાવે છે કે, સરકાર માત્ર કાયદાનું પાલન નથી કરતી, પણ એક વાલી તરીકે દરેક નિરાધાર બાળકની આંગળી પકડીને તેને શ્રેષ્ઠ ભવિષ્ય તરફ દોરી જાય છે. લોસ એન્જલસના આ NRI દંપતી દ્વારા બાળકને અપનાવવું એ વિશ્વબંધુત્વની ભાવનાને પણ ઉજાગર કરે છે. ગુજરાત સરકારના આ ભગીરથ પ્રયાસોને કારણે આજે એ બાળક પાસે માત્ર રહેવા માટે ઘર નથી, પરંતુ ઉચ્ચ શિક્ષણ, ઉત્તમ આરોગ્ય અને એક સુરક્ષિત વાતાવરણની ખાતરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રએ આ બાળકને વિદાય આપતા તેના સુખમય અને તેજસ્વી ભવિષ્ય માટે અંતરપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:26 pm

હોળી-ધુળેટી પર્વ નજીક આવતા તંત્ર જાગ્યું:રાજકોટનાં મવડી, પેડક રોડ અને પરાબજાર સહિતના વિસ્તારોમાંથી ખજૂર અને દ્રાક્ષના 14 નમૂના લેવાયા, બે મહિને રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ જણાય તો વેપારી સામે કાર્યવાહી

રાજકોટ શહેરમાં હોળી-ધુળેટીનાં તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે તંત્ર સફાળું જાગ્યું છે. અને આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં તહેવારોમાં ધૂમ વેંચતા દ્રાક્ષ અને ખજૂરનાં વેપારીઓની તપાસ કરવામાં આવી હતી. આજે યોજાયેલી ડ્રાઈવ દરમિયાન શહેરના પરાબજાર, મવડી, ગોવિંદબાગ અને પેડક રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરીને કુલ 11 જેટલા વેપારી સંકુલો અને પ્રોવિઝન સ્ટોર્સમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસના અંતે શંકાસ્પદ જણાતા ખજૂર અને દ્રાક્ષના કુલ 14 નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જોકે તહેવારો પુરા થયા બાદ છેક બે મહિને આ નમુનાઓનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થશે તો જવાબદાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ ફૂડ વિભાગની ટીમે સવારથી જ શહેરના જુદા-જુદા ઝોનમાં કાર્યરત વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં ખાસ કરીને ડ્રાયફ્રૂટ્સમાં ભેળસેળ અથવા હલકી ગુણવત્તાનો માલ વેચાતો હોવાની આશંકાને પગલે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને મવડી વિસ્તારમાં આવેલા 80 ફૂટ રોડ પર સર્વોદય સ્કૂલની સામે 'શ્રીરામ એન્ટરપ્રાઇઝ' (શ્રીરામ સુપર માર્કેટ)માં સઘન તપાસ કરવામાં આવી હતી. અહીંથી 'UPHAR ZAHIDI SEEDLESS DATES' (500 G. PACK), 'DHWIT SELECTED DATES' (500GM PKD) અને 'RAJESH GOLDEN DRY FRUITS-BLACK RAISINS' (250GM PKD) એમ ત્રણ અલગ-અલગ બ્રાન્ડેડ પેકિંગના નમૂના લેવામાં આવ્યા હતા. આજે પરાબજાર જેવા ગીચ વ્યાપારી વિસ્તારમાં પણ ફૂડ સેફ્ટી ઓફિસરોએ ધામા નાખ્યા હતા. પરાબજાર મેઈન રોડ પર આવેલ 'શ્રી ગિરિરાજ એન્ટરપ્રાઇઝ'માંથી લૂઝ 'ZAHIDI DATES'નો નમૂનો લેવાયો હતો. આ ઉપરાંત, હાથી મસાલા પાસે આવેલા 'કેપ્ટન ટ્રેડર્સ'માંથી પણ લૂઝ દ્રાક્ષ (RAISINS)નો નમૂનો લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઠોસા ગલી અને જૂની શાક માર્કેટ પાસે પણ તંત્ર ત્રાટક્યું હતું. અહીં 'જે ભગવાન ટ્રેડર્સ' અને 'રસિકલાલ નટવરલાલ તન્ના'ની પેઢીમાંથી લૂઝ ખજૂરના સેમ્પલ લેવાયા હતા. આ ઉપરાંત ગોવિંદબાગ મેઈન રોડ પર ફૂડ વિભાગે બે મોટા સ્ટોર્સમાં તપાસ કરી હતી. 'શ્રી શક્તિ પ્રોવિઝન સ્ટોર'માંથી 'DHWIT SELECTED DATES' (500 G. PACK) અને 'શ્રીરામ કરીયાણા ભંડાર'માંથી 'SHAGUN SEEDLESS DATES' (500 G. PACK) તેમજ લૂઝ દ્રાક્ષના નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ પેડક રોડ પર ચંપકનગર-3 પાસે 'એપેક્ષ ટ્રેડર્સ' અને ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા 'સોમનાથ એન્ટરપ્રાઇઝ'માં પણ તપાસ હાથ ધરાઈ હતી, જ્યાંથી લૂઝ દ્રાક્ષના નમૂના લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર બસ સ્ટોપ પાસે 'વ્રજ ડ્રાયફ્રૂટ ચોકલેટ' તેમજ વાવડી વિસ્તારમાં 80 ફૂટ મટુકી રોડ પર 'શ્રી ગણેશ સુપર માર્કેટ'માં તપાસ દરમિયાન 'DRYMEVAZ PREMUM RAISINS'ના પેકેટ્સ જપ્ત કરી નમૂના તરીકે લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા તમામ 14 નમૂનાઓને હાલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો નમૂનાના રિપોર્ટ 'સબ-સ્ટાન્ડર્ડ' અથવા 'મિસબ્રાન્ડેડ' આવશે, તો સંબંધિત વેપારીઓ અને ઉત્પાદકો સામે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ભારે દંડ અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવાની જોગવાઈ છે. લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:25 pm

ભરૂચમાં સ્પા સંચાલકની હત્યા કરનાર ભાગીદાર-મેનેજર ઝડપાયા:પૈસાની લેવડ-દેવડમાં કારમાં જ દોરી વડે ગળું દબાવી દીધું, પુરાવા નાશ કરવા હાથ-પગ બાંધી લાશને નાળામાં ફેંકી હતી

ભરૂચ શહેરમાં સ્પા સંચાલકની હત્યાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે સ્પા સંચાલકના ભાગીદાર અને મેનેજરને ઝડપી પાડ્યા છે, જેના કારણે જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 10 ફેબ્રુઆરીના રોજ ઝાડેશ્વર રોડ પર આવેલા શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા ના સંચાલક ભેદી સંજોગોમાં ગુમ થયા હતા. બીજા જ દિવસે વાગરા તાલુકાના રહાડ ગામથી વચ્છનાદ ગામ તરફ જતા રોડ પર નાળા નીચેથી તેમની લાશ મળી આવી હતી. મૃતદેહ ગળાના ભાગે દોરીનો ટૂંપો આપી, હાથ-પગ બાંધેલી હાલતમાં મીણીયા થેલીમાંથી મળતા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મૃતકના ભાઈએ વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સ્પાના ધંધામાં ભાગીદાર મુન્તજીર પટેલ સાથે હિસાબ બાબતે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, LCB PI મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી માનવ સ્રોત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, સ્પાનો મેનેજર મહમંદ સૌયેબ ભાદરકા તેના વતન પ્રભાસપાટણ જતો રહ્યો હોવાની માહિતી મળતા, પોલીસ ટીમ ગીર સોમનાથ ખાતે રવાના કરવામાં આવી હતી. જ્યારે ભાગીદાર મુન્તજીર પટેલની શોધખોળ માટે અન્ય એક ટીમ કાર્યરત હતી. આ દરમિયાન, ખાનગી બાતમીના આધારે મુન્તજીર પટેલ ક્રેટા કાર સાથે વિલાયત રોડ પર જોવા મળ્યો હોવાની માહિતી મળતા પોલીસે તેને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો અને કડક પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં ટાળમટોળ કર્યા બાદ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો. તેણે કબૂલ્યું કે, બંનેએ ભાગીદારીમાં સ્પાનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ નાણાકીય લેવડ-દેવડ, નુકસાન અને આશરે સાડા નવ લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે સતત ઝઘડા ચાલતા હતા. સ્પા મેનેજરને પણ પગાર લેવાનો બાકી હોવાથી, બંનેએ મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ, મૃતકને રૂપિયા આપવાના બહાને બોલાવી કારમાં બેસાડવામાં આવ્યો હતો. મેનેજરની ઓળખ છુપાવવા માટે તેને મહિલાના કપડાં અને બુરખો પહેરાવી પાછળ બેસાડવામાં આવ્યો હતો. કારને ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ, ચાલતી કારમાં જ ગળે ફાંસો આપી તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ લાશને મીણીયા થેલીમાં મૂકી રહાડ-વચ્છનાદ રોડ પાસે નાળા નીચે ફેંકી દેવામાં આવી હતી. બીજી તરફ, મેનેજર મહમંદ સૌયેબ ભાદરકાને પણ પોલીસ ટીમે તેના વતન ગામેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પણ ગુનાની કબૂલાત કરી હતી. બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં જંબુસર ડીવાયએસપી પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, મરણજનાર તથા આરોપી મુન્તજીર પટેલ મિત્ર થયા બાદ ભાગીદારીમાં સ્પા”નો ધંધો શરૂ કર્યો હતો. પહેલા પાંચબત્તી અને ત્યાર બાદ આઠેક મહિના અગાઉ ઝાડેશ્વર રોડ ઉપર શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા” ખોલેલ જેમા મેનેજર તરીકે આરોપી મહમંદ સૌયેબને રાખ્યો હતો. ત્યાર બાદ આ સ્પા બરાબર નહિ ચાલતા મેનેજરને છુટો કરી દીધો હતો. મુન્તજીર પટેલને મરણજનાર પાસેથી સાડા નવ લાખ રૂપિયા લેવાના હોવાથી બંન્ને પાર્ટનરો વચ્ચે છેલ્લા ત્રણ ચાર મહિનાથી નાંણાકીય લેવડ-દેવડ બાબતે નાના-મોટા ઝઘડાઓ ચાલતા હતા અને આરોપી મહમંદ સૌયેબને પણ પગારના રૂપિયા લેવાના નિકળતા હોય જેથી બંન્નેએ તેનું મર્ડર કરવાનો પ્લાન ઘડ્યો હતો. જે પ્લાન મુજબ આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને તેઓએ મીણીયા થેલીમાં મુકી રહાડ-વચ્છનાદ રોડ પાસે નાળા નીચે ફેંકી દીધી હતી. હાલમાં બંને આરોપીઓ પકડાઈ ગયા છે અને વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:22 pm

કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સામે 3 વર્ષ ટર્મિનેટ કરાયો:વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 23 કામો મંજૂર

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં 23 કામો દરખાસ્ત ઉપર મુકવામાં આવ્યા હતાં. આ તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. 23 પૈકી કેટલાક કામોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના 9 અતિથિગૃહમાં હાઉસકિપિંગનું કામ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં તેને 3 વર્ષ માટે ટર્મિનેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 23 કામો ઉપર ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ કામો મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 9 અતિથિગૃહોમાં હાઉસકિપિંગનું કામ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવતી હતી. કોન્ટ્રાકટરને 3 વર્ષ માટે ટર્મિનેટ કરાયોઆ કોન્ટ્રાકટર દ્વારા સીએના ખોટા દસ્તાવેજો રજૂ કરીને ખોટા ટર્નઓવર બતાવવામાં આવ્યા હતા. આ બાબત ઓડિટ વિભાગના ધ્યાન ઉપર આવી હતી જેના પગલે આ ઇજારદારને બ્લેક લિસ્ટમાં મુકવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી હતી. જો કે સ્થાયી સમિતિએ આ કોન્ટ્રાકટરને 3 વર્ષ માટે ટર્મિનેટ કરવાનો નિર્ણય કર્યો છે. તેઓએ માનવદિનમા જે કામગીરી કરી છે તેનું ચુકવણું કરવાનું નક્કી કરી તેઓની ડિપોઝીટ અંગે નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની છે તે અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. શિવજી કી સવારીના ખર્ચની સત્તા કમિશનરનેઆ બેઠકમાં શહેરમાં ડ્રેનેજના કામો સહિતના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા છે. શિવરાત્રીએ શહેરમાં ભવ્ય શિવજી કી સવારી નીકળે છે. તે અંતર્ગત સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા દ્વારા કેટલીક વ્યવસ્થાઓ કરવાની હોય છે જેના ખર્ચની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાનો નિર્ણય સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો છે. બ્લુ બોન્ડ માટે એજન્સીઓની નિમણૂકમહાનગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગતના કામો માટે ગેપ ફંડિંગના કામે રૂ.200 કરોડના બ્લુ બોન્ડનો પબ્લિક ઈશ્યુ બહાર પાડવામાં આવશે.જે અંગે એજન્સીઓની નિમણુંક શરતો મુજબ કરવા, નિયમ મુજબ કમિટી રચવા, કેસ સ્ટડી કરવા સહિતની સત્તા મ્યુન્સિપલ કમિશનરને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:20 pm

Seva Teerth: 'સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ બદલવું નહીં વિચાર બદલવા જરૂરી', વડાપ્રધાન મોદીનું નિવેદન

Seva Teerth: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે(13 ફેબ્રુઆરી) સેવા તીર્થ સંકુલથી કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું. તેમણે એક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી. અગાઉ, પીએમ મોદીએ શુક્રવારે સવારે સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ઇમારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય હશે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલે જણાવ્યું કે, ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનનું નામ બદલીને સેવા તીર્થ મેટ્રો સ્ટેશન કરવામાં આવશે.

ગુજરાત સમાચાર 13 Feb 2026 7:14 pm

વરતેજમાં કારમાંથી દારૂના જથ્થા સાથે 3 ઝડપાયા:2.67 લાખનો મુદ્દામાલ જપ્ત, વાડી પાસે દારૂ સપ્લાય કરે તે પહેલા જ પોલીસ ત્રાટકી

ભાવનગર વરતેજ પોલીસે ગત મોડીરાત્રે પેટ્રોલિંગ દરમિયાન નાના ખોખરા બસ સ્ટેન્ડ નજીક બાતમી આધારે કારને વાડી પાસે અટકાવી તપાસ કરતાં 105 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કારમાંથી બે શખ્સો તેમજ દારૂ વેચાણ માટે માલ મંગાવનાર વ્યક્તિ મળી કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડી રૂ. 2,67,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. કાળી પ્લાસ્ટિકની થેલીઓમાં ઇંગ્લીશ દારૂની નાની બોટલોઆ અંગે વરતેજ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વરતેજ પોલીસ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મોડીરાત્રિના નાના ખોખરા ગામના બસ સ્ટેન્ડ નજીક ખાનગી બાતમી મળી હતી કે, GJ-08-CG-1434 નંબરની કારમાં દારૂ ભરી નાના ખોખરા ગામની પડાળીયા સીમ વિસ્તારમાં આવેલ યુવરાજસિંહ ગોહિલની વાડી તરફ જઈ રહી છે. દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયાજે બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ કાર યુવરાજસિંહ ગોહિલની વાડીના ઝાંપા પાસે આવતા પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી. કારની તપાસ દરમ્યાન પાછળની ડેકીમાંથી કાળી પ્લાસ્ટિકની થેલીઓમાં ઇંગ્લીશ દારૂની નાની બોટલો મળી આવી હતી. પોલીસે કારમાં બેઠેલા રાજન સુરેશભાઈ વાઘેલા તથા અંકિત પ્રવિણભાઈ જાંબુચા નામના બે શખ્સોને સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા, જ્યારે યુવરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલ વાડીએ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. 2.67 લાખના મુદ્દામાલ જપ્તપોલીસે તપાસ દરમિયાન 105 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો રૂ. 17,850 તથા કાર રૂ. 2,50,000 મળી આવતા કુલ રૂ. 2,67,850 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન શખ્શોઓએ દારૂ યુવરાજસિંહ ગોહિલને છૂટક વેચાણ માટે લાવ્યાનું કબૂલ્યું હતું. પોલીસે રાજન સુરેશભાઈ વાઘેલા,અંકિતભાઈ પ્રવીણ ભાઈ જાબુચા,યુવરાજસિંહ પ્રવીણસિંહ ગોહિલ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:05 pm

'અમે ફિલ્ડમાં 12-14 કલાક કામ કરીએ એટલે છૂટછાટ હોય છે':ફેસ ડિટેક્શન મશીનમાં હાજરી પૂર્યા વિના મહિનાનો પગાર મેળવનાર અધિકારીઓને નોટિસ, મ્યુ. કમિશનરે ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો

તાજેતરમાં મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ અધિકારી અને કર્મચારીઓની નિયમતતા માટે શિસ્ત અને સમયપાલન માટે ફેસ ડિટેક્શન મશીનમાં રેગ્યુલર હાજરી ન પૂરી રહેલા 45 જેટલા સેનેટરી ઓફિસર (SO) અને સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) તેમજ એસ.એસ.આઈને કારણદર્શક નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું હતું. અમે ફિલ્ડમાં રહેતા હોવાથી છૂટછાટ હોય છેઆ અંગેની તપાસ કરનારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ પોતે જ એક મહિનાથી ફેસ ડિટેક્શન મશીનમાં હાજરી નહીં પૂરી હોવા છતાં તેને આખા મહિનાનો પગાર મળ્યો હોવાનો આરોપ કામદાર યુનિયનનાં પ્રમુખ પારસભાઈ બેડિયાએ લગાવ્યો છે. જોકે, અધિકારી પ્રજેશ સોલંકી દ્વારા આરોપો ફગાવવામાં આવ્યા છે અને જણાવાયુ છે કે, અમે ફિલ્ડમાં રહેતા હોવાથી છૂટછાટ હોય છે, બાકી દરરોજ 12-14 કલાક કામ કરીએ છીએ. આ અંગે કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકામાં 4000 થી વધારે કાયમી, કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળના સફાઈ કામદારો સફાઈ કામગીરી કરે છે. કાયમી સફાઈ કામદારોની 4 ટાઈમની હાજરી હોય છે અને મિત્ર મંડળ અને કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોની કામગીરી 2 ટાઈમની હોય છે, કારણ કે તે પાર્ટ-ટાઈમ સફાઈ કામદારો છે. હવે જ્યારે કોઈ કાયમી સફાઈ કામદાર રજા રાખે અથવા 1 કલાક, અડધી કલાક કે 5-10 મિનિટ મોડો પડે તો તેનો પગાર કાપી નાખવામાં આવે છે. અને કોન્ટ્રાક્ટ કે મિત્ર મંડળના સફાઈ કામદારો જો 5-10 મિનિટ મોડા પહોંચે તો તેમને કામ પર નથી લેતા અને તે દિવસની ગેરહાજરી પુરી દેવામાં આવે છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓમાં ઊંધું છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ગમે તે જગ્યાએ હાજરી પૂરે કે ન પૂરે, તેમના ખાતામાં પગાર આવી જાય છે. રાજકોટ મહાનગરપાલિકા 'એક ને ગોળ અને એક ને ખોળ'ની નીતિ અપનાવી રહી છે. મોટા અધિકારીઓ દ્વારા, જેમ કે પ્રજેશ સોલંકી છે, તેમની 1-1-2026 થી 31-1-2026 વચ્ચે મશીનમાં એકપણ હાજરી પુરાયેલ નથી, છતાં તેમની હાજરી પુરાઈ ગઈ છે અને તેમને પગાર પણ મળી ગયો છે. આમ રાજકોટ મહાનગરપાલિકામાં જે સફાઈ સૈનિકો રાજકોટને સ્વચ્છ, સુંદર અને રોગમુક્ત રાખવાનો પ્રયાસ કરતા હોય, તેમની સાથે આટલો મોટો અન્યાય થઈ રહ્યો છે. આ જે ગફલાબાજ અધિકારીઓ છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેમણે જે પણ મફતના પગારો લીધા છે, તે બધા સરકારે રિકવર કરવા જોઈએ. જો આવનારા દિવસોમાં આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, તો આ મુદ્દો બહુ ગંભીર બની આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે. આ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, આ તમામ આરોપો સાવ પાયાવિહોણા છે. મારી માફક ફિલ્ડમાં રહેતા હોય તેવા અધિકારીઓએ ફેસ ડિટેક્શન મશીનમાં હાજરી પુરવાની ફરજીયાત હોતી નથી. અમે દરરોજ 8 કલાકની બદલે 12-14 કલાક કામ કરીએ છીએ. એટલું જ નહીં અનેકવાર જાહેર રજાઓ તેમજ રવિવારના દિવસે પણ કામગીરી કરતા હોય છીએ. તો આવા ખોટા આરોપો લાગવાથી અમારું મોરલ ડાઉન થાય છે. છતાં અમે અમારું કામ કરીએ છીએ અને કરતા રહીશું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 7:04 pm

ભજીયાની લારી પરથી પકડાયેલું ડ્રગ્સ 'MD' નહી 'ક્લેફેડ્રોન' હતું:FSLના રિપોર્ટે પોલીસની ભૂલ પકડી પાડી, સેશન્સ કોર્ટે શંકાસ્પદોને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો

સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા એક ભજીયાની લારી પર દરોડો પાડીને પોલીસે ભારે હોબાળો મચાવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 125.71 ગ્રામ શંકાસ્પદ પાવડર સાથે મોહમદ જાફર ગોડિલ અને ઝમીર અહેમદ શેખની ધરપકડ કરી હતી. તે સમયે પોલીસે દાવો કર્યો હતો કે, જપ્ત કરાયેલું ડ્રગ્સ મેફેડ્રોન છે. મેફેડ્રોનના કાયદા મુજબ 50 ગ્રામથી વધુનો જથ્થો 'કોમર્શિયલ ક્વોન્ટિટી' ગણાય છે, જેના કારણે આરોપીઓ માટે જેલમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની ગયું હતું. જ્યારે જપ્ત કરાયેલા નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવામાં આવ્યા ત્યારે આ કેસમાં એક આશ્ચર્યજનક વળાંક આવ્યો. FSL રિપોર્ટમાં ખુલાસો થયો કે પકડાયેલું ડ્રગ્સ 'મેફેડ્રોન' નહીં પરંતુ 'ક્લેફેડ્રોન' હતું. જોકે સામાન્ય માણસ માટે આ બંને કેમિકલ એક સરખા લાગે, પરંતુ NDPS એક્ટની કલમો અને સજાની જોગવાઈઓમાં આ તફાવત જમીન-આસમાનનો છે. આ રિપોર્ટ આવતા જ આરોપીઓના વકીલે કાયદાકીય લડત માટે નવો રસ્તો શોધી કાઢ્યો હતો. કોમર્શિયલ vs ઇન્ટરમીડિયેટ ક્વોન્ટિટીબચાવ પક્ષના વકીલ ઝફર કે. બેલાવાલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, સરકારના ગેઝેટ મુજબ 'ક્લેફેડ્રોન' માટે કોમર્શિયલ ક્વોન્ટિટીની મર્યાદા 250 ગ્રામ નક્કી કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મળી આવેલો 125.71 ગ્રામ જથ્થો ક્લેફેડ્રોનના કાયદા મુજબ 'ઇન્ટરમીડિયેટ ક્વોન્ટિટી' ગણાય. જ્યારે મેફેડ્રોનમાં આ જ જથ્થો કોમર્શિયલ ગણાતો હતો. આ તકનીકી તફાવતને કારણે NDPS એક્ટની કઠોર કલમ-37, જે જામીન મેળવવામાં અવરોધ ઉભો કરે છે, તે આ કેસમાં લાગુ પડતી અટકી ગઈ હતી. સુરત સેશન્સ કોર્ટે શંકાસ્પદોને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યોસુરત સેશન્સ કોર્ટે હાઈકોર્ટના અગાઉના અવલોકનો અને FSL રિપોર્ટના તથ્યોને ગંભીરતાથી લીધા હતા. કોર્ટે સ્વીકાર્યું કે, જપ્ત થયેલો જથ્થો ક્લેફેડ્રોન હોવાથી તે કોમર્શિયલ ક્વોન્ટિટીમાં આવતો નથી. આ સંજોગોમાં આરોપીઓના જામીન નકારવા માટે પૂરતા આધાર ન જણાતા, કોર્ટે મોહમદ જાફર અને ઝમીર અહેમદને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આમ, વિજ્ઞાન અને કાયદાના સમન્વયે પોલીસની થિયરીને ખોટી પાડી આરોપીઓને જેલમુક્ત કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:51 pm

નવસારીમાં ગંદકી મુદ્દે પાલિકાની કડક કાર્યવાહી:જૂની દરજી પંચની વાડીને ₹5000નો દંડ ફટકાર્યો, એંઠવાડનો યોગ્ય નિકાલ કર્યો ન હતો

નવસારી શહેરના આશાનગર વિસ્તારમાં આવેલી જૂની દરજી પંચની વાડીમાં ગંદકીના મુદ્દે નવસારી મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. પાલિકાએ સ્થળ તપાસ બાદ વાડીના સંચાલકોને રૂ. 5,000નો દંડ ફટકાર્યો હતો અને તાત્કાલિક સફાઈ કરાવી હતી. વાડીમાં ફેલાયેલી અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસના રહીશો અને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા નવસારી મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મોહન આહિરે જણાવ્યું હતું કે, દરજી પંચની વાડીમાં એઠવાડનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ એઠવાડને રખડતા કૂતરાઓએ આસપાસના વિસ્તારમાં વેરવિખેર કરી દીધો હતો, જેના કારણે વાતાવરણ પ્રદૂષિત થયું હતું અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. રહીશો અને દુકાનદારોની ફરિયાદને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા આ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની આ ત્વરિત કામગીરીથી સ્થાનિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. ભવિષ્યમાં આવી બેદરકારી ન રાખવા માટે સંચાલકોને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:51 pm

છોટા ઉદેપુરના ભોરદામાં નલ સે જલ યોજના નિષ્ફળ:નળ લાગ્યા પણ પાણીનું ટીપું પણ નથી આવતું, ગ્રામજનોની પાણીની માંગ

છોટા ઉદેપુર તાલુકાના મધ્ય પ્રદેશ સરહદ નજીક આવેલા ભોરદા ગામમાં સરકારની 'નલ સે જલ' યોજના નિષ્ફળ સાબિત થઈ છે. યોજના હેઠળ ઘેર ઘેર નળ લગાવવામાં આવ્યા હોવા છતાં, 5,000ની વસ્તી ધરાવતા ગ્રામજનોને પીવાનું એક ટીપું પાણી પણ મળ્યું નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, 'નલ સે જલ' યોજના અંતર્ગત ગામમાં પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે અને મોટાભાગના ઘરોમાં નળ પણ લગાવી દેવાયા છે. જોકે, આ નળમાં આજદિન સુધી પાણી આવ્યું નથી. કેટલાક વિસ્તારોમાં તો નળ પણ નાખવામાં આવ્યા નથી, અને જે નળ લાગ્યા છે તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કેટલીક જગ્યાએ સ્ટેન્ડપોસ્ટ પણ નકામા થઈ ગયા છે અથવા તૂટી ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે આ યોજના ગામમાં અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ પાણી ન મળતા આ નાણાં વેડફાઈ ગયા હોવાનું ગ્રામજનો અનુભવી રહ્યા છે. યોજનાના અમલ છતાં પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે 'નલ સે જલ' યોજનાનું સંચાલન કરતી વાસ્મો (WASMO) સંસ્થાના અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ યોજના ત્રણ વર્ષ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી હતી. તેમ છતાં ગ્રામજનોને પાણી ન મળતા, તેઓ તંત્ર સમક્ષ તાત્કાલિક પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:47 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:શહેરમાં 15 સ્માર્ટ સ્કૂલ તૈયાર, ગાંજો વેચતા રોક્યો તો ગોળી મારી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:46 pm

ભટારમાં ટ્રાફિક પોલીસનું સઘન ચેકિંગ:આડેધડ પાર્કિંગ કરનારાઓને 'બ્લેકલિસ્ટ' કરવાની ચીમકી, 10થી વધુ વાહનચાલકોને ઈ-મેમો ફટકારી કાયદાનું ભાન કરાવ્યું

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ વિકટ બની છે, ખાસ કરીને જાહેર રસ્તાઓ પર લોકો દ્વારા આડેધડ ગાડીઓ પાર્કિંગ કરતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સુરતના ભટાર ચાર રસ્તાથી વિશાલ નગર તરફ જતા મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ચાલી રહેલા આડેધડ પાર્કિંગ હટાવવા માટે સુરત ટ્રાફિક રીજીયન-3 દ્વારા શુક્રવારે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અચાનક પોલીસનું ચેકિંગસુરત ટ્રાફિક રીજીયન-3ના ACP આર. એસ. ટંડેલની સીધી દેખરેખ હેઠળ આ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. ભટાર અને વિશાલ નગરને જોડતા આ મહત્વના રસ્તા પર અનેક વાહનચાલકો પોતાની લક્ઝુરિયસ કાર અને રિક્ષાઓ ગમે ત્યાં પાર્ક કરી દેતા હતા. જેના કારણે પીક અવર્સ દરમિયાન અહીંથી પસાર થવું મુશ્કેલ બની જતું હતું. આ ફરિયાદોને ધ્યાને લઈ પોલીસ કાફલાએ સ્થળ પર ત્રાટકી કાર્યવાહી હાથ ધરી હતી. 10થી વધુ કારને લોક કરીટ્રાફિક પોલીસે રસ્તા પર ઉભેલી 10 થી વધુ કારને સ્થળ પર જ લોક મારી દીધા હતા. આ ઉપરાંત, જાહેર માર્ગને અવરોધતી અનેક રિક્ષાઓ પાસેથી પણ નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ્યો હતો. માત્ર દંડ જ નહીં પરંતુ, 10થી વધુ વાહનચાલકોને ઈ-મેમો ફટકારી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. જે વાહનો 'નો-પાર્કિંગ' ના સાઈનબોર્ડ પાસે હોવા છતાં મુકવામાં આવ્યા હતા, તેમની સામે વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિવહન પોર્ટલ પર 'બ્લેકલિસ્ટ' ની ચીમકીસૌથી મહત્વની બાબત એ છે કે ટ્રાફિક વિભાગે હવે કડક અભિગમ અપનાવ્યો છે. વાહનચાલકોને માત્ર દંડ ભરીને છૂટી જવાની ટેવ ન પડે તે માટે વિભાગે લેખિત અને મૌખિક સૂચના આપી છે કે, જો કોઈ પણ વાહન માલિક બીજી વખત આડેધડ પાર્કિંગ કરતા ઝડપાશે, તો તેમના વાહનને 'પરિવહન પોર્ટલ' પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. વાહન બ્લેકલિસ્ટ થવુ એટલે કે માલિક તે વાહનને વેચી શકશે નહીં, કે તેનું ફિટનેસ કે ઈન્સ્યોરન્સ રીન્યુ કરાવી શકશે નહીં.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:38 pm

પેટલાદમાં સ્માર્ટ મીટર પખવાડિયાનો પ્રારંભ:MGVCLનું અભિયાન: 75 હજાર ઘરોમાં સ્માર્ટ મીટર, વટાદરામાં કેમ્પ યોજાયો

કેન્દ્ર સરકારના પાવર મંત્રાલયના આદેશ અનુસાર, મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની પેટલાદ વિભાગીય કચેરી દ્વારા સ્માર્ટ મીટર પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત પેટલાદ વિભાગ હેઠળના 75 હજારથી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યા છે. 'સ્માર્ટ મીટર અપનાવો, સ્માર્ટ શરૂઆત કરો' ના સૂત્ર સાથે MGVCL ના કર્મચારીઓ, પાવરગ્રીડ અને Intelliismartના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પેટલાદ વિભાગ હેઠળ આશરે બે લાખથી વધુ ગ્રાહકો છે. જેમાંથી 75 હજાર ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે અને બાકીના વિસ્તારોમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ખંભાત તાલુકાના વટાદરા ખાતે 'સ્માર્ટ વટાદરા કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યપાલક ઇજનેર, નાયબ ઇજનેર અને જુનિયર ઇજનેર દ્વારા ગ્રાહકોને સ્માર્ટ મીટર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે સ્માર્ટ મીટર એ ગ્રાહકો માટે વીજળીનો ડિજિટલ ચોપડો છે. 'MGVCL SMART METER' એપ્લિકેશન દ્વારા ગ્રાહકો દરરોજનો વીજ વપરાશ, સોલર એક્સપોર્ટની વિગતો અને વીજ ખર્ચ પર સીધું નિયંત્રણ રાખી શકશે. આ એપ્લિકેશન દ્વારા મીટર કે વીજ પુરવઠા સંબંધિત સમસ્યાઓનું પણ ત્વરિત નિરાકરણ આવશે. વડાપ્રધાનના વર્ષ 2070 સુધીના 'નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન'ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સૌને સ્માર્ટ મીટર અપનાવવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:36 pm

આણંદની સાયલન્ટ બુક ક્લબને મુખ્યમંત્રીએ બિરદાવી:કુશ પટેલની પહેલમાં 5 મહિનામાં 1000થી વધુ વાચકો જોડાયા

આણંદના યુવા કુશ પટેલ દ્વારા શરૂ કરાયેલી 'આણંદ સાયલન્ટ બુક ક્લબ' રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ડિજિટલ યુગમાં વાંચન પ્રત્યે જાગૃતિ લાવતી આ પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસાપત્ર પાઠવી બિરદાવી છે. પાંચ મહિનામાં આ ક્લબ સાથે 1000થી વધુ વાચકો જોડાયા છે. ક્લબના સંચાલક કુશ પટેલે જણાવ્યું કે, છેલ્લા પાંચ મહિનાથી દર રવિવારે શહેરના વિવિધ સ્થળોએ વાંચન કાર્યક્રમ યોજાય છે. આ ક્લબમાં દરેક વયના લોકો પોતાના મનપસંદ પુસ્તકો સાથે આવે છે અને શાંત વાતાવરણમાં કોઈ પણ વિક્ષેપ વગર સામૂહિક વાંચનનો આનંદ માણે છે. દર રવિવારે 50 થી 90 વાચકો નિયમિતપણે જોડાય છે, જ્યારે સોશિયલ મીડિયા દ્વારા 1,000 થી વધુ લોકો આ અભિયાનમાં સહભાગી બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પત્રમાં વાંચનને જ્ઞાન પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, સમાજમાં શાંતિ અને માનસિક વિકાસ માટે વાંચન અનિવાર્ય છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલા આ સન્માનને કુશ પટેલે દરેક વાચકનું ગૌરવ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ પ્રશંસાપત્રથી ક્લબને નવી ઊર્જા મળી છે. આગામી સમયમાં વધુ યુવાનો પુસ્તકો તરફ વળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:35 pm

નવી ઈલેક્ટ્રિક AC બસોનું લોકાર્પણ:AMC સ્કૂલના શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ આપતા મુખ્યમંત્રીએ કહ્યું- શિક્ષકોમાંથી જ બધું શીખવા મળે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત સ્કૂલ બોર્ડ ભવન અને 15 સ્માર્ટ સ્કૂલોનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ અને શ્રેષ્ઠ શિક્ષકોને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. સ્કૂલ બોર્ડ ભવન અને સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં નગર પ્રાથમિક સમિતિની સ્કૂલમાં ભણતા બાળકો સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ 9 એસી ઇલેક્ટ્રિક બસોનું પણ લોકાર્પણ કર્યું હતું. નવી એસી ઇલેક્ટ્રીક AMTS બસોનું લોકાર્પણ કર્યુંરાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ, શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણ અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નવી એસી ઇલેક્ટ્રીક AMTS બસોનું લોકાર્પણ કર્યું હતું. નવી ઈલેક્ટ્રીક એસી 200 મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવનાર છે ત્યારે પ્રાથમિક તબક્કે આવેલી એસી બસો હવે શહેરીજનો માટે અલગ-અલગ રૂટ પર આગામી દિવસોમાં મૂકવામાં આવશે. જેથી, ઉનાળામાં AMTS બસમાં મુસાફરી કરનારા મુસાફરોને ગરમીમાં રાહત મળશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 100 વર્ષ પૂરા થયા અમદાવાદ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે બધા શિક્ષકો કેમ શાંત થઈ ગયા છો. શિક્ષકોને હળવી રમુજ કરતાં કહ્યું હતું કે, તમારો એક પિરિયડ 45 મિનિટનો હોય છે અને બધા બાળકો આરામથી સાંભળતા હોય છે ત્યારે આજે તમારે સાંભળવાનો વારો આવ્યો છે. અમે તમારામાંથી જ શીખવાવાળા છીએ. શિક્ષકોમાંથી જ શીખવા મળે છે. આખી દુનિયામાંથી કઈ શીખવું હોય તો એ શિક્ષક જ કહેવાય. શિક્ષક પાસેથી જ શીખવા મળે છે એટલે શિક્ષકો થાકી જાય એ ચાલે નહીં. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 100 વર્ષ પૂરા થયા છે. ખાનગી સ્કૂલના બાળકો હવે સ્કૂલ બોર્ડ સંચાલિત શાળામાં પ્રવેશ લે છેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્કૂલ બોર્ડ સંચાલિત સ્કૂલોમાં સામાન્ય માણસના દીકરા-દીકરીઓ ભણતા હોય છે ત્યારે દીકરા દીકરીઓનું સારામાં સારું ધ્યાન શિક્ષકો રાખે છે. જો એક દિવસ સ્કૂલે ના આવે તો તેના ઘર સુધી પહોંચી જાય છે. શિક્ષકો આજે સુંદર કામ શિક્ષકો કરે છે. ખાનગી સ્કૂલના બાળકો હવે સ્કૂલ બોર્ડ સંચાલિત શાળામાં પ્રવેશ લે છે, જે તમને આભારી છે. 56000 ખાનગી શાળામાંથી સ્કૂલ બોર્ડની સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. હું સ્કૂલ બોર્ડ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છુંશિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદની ગલીઓમાં ચાલતી સ્કૂલો સ્માર્ટ બની છે. માત્ર ઇમારત નથી બનાવતા પરંતુ, ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. શિક્ષણ નોકરી નથી પરંતુ સાધના છે. નવી શિક્ષણ નીતિમાં ફેરફાર લાવ્યા છીએ. આજનો શતાબ્દી મહોત્સવ આગામી 100 વર્ષના ભવિષ્યનો પાયો છે. હું સ્કૂલ બોર્ડ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શતાબ્દી શિક્ષા મહોત્સવના શુભારંભની સાથે-સાથે સ્કૂલ બોર્ડ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સૌ શહેરીજનો વતી હું આભાર માનું છું. શહેરની તમામ સ્કૂલો સ્માર્ટ બની છે. ખાનગી સ્કૂલો કરતાં સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની લાઇન લાગે છે. જેના માટે સ્કૂલ બોર્ડની ટીમને અભિનંદન આપું છું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:35 pm

આણંદમાં રમઝાન માસમાં ટ્રાફિક સમસ્યા:ગુજરાતી ચોકમાં ઇફ્તાર ખરીદી માટે ડાયવર્ઝન માંગણી

આણંદ શહેરમાં આગામી 19 ફેબ્રુઆરીથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતી ચોક વિસ્તારમાં ઇફ્તારની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે. સમસ્ત આણંદ મુસ્લિમ સમાજના નેજા હેઠળ સામાજિક કાર્યકર રિઝવાન મેમણ, સરવર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યાવરહુસેન ઠાકોર, આણંદ શહેર મુસ્લિમ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ઐયુબખાન પઠાણ ધૂળેટાવાળા, સિરાજુદ્દીન કાઝી અને ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાઝ ઉર્ફે રીલુ વ્હોરા સહિતના અગ્રણીઓએ જન સંપર્ક અધિકારીને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, રમઝાન માસમાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન ઇફ્તારની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોવાથી એકતા સર્કલથી મહાવીર માર્ગ તરફ તેમજ પોલસન ડેરી રોડ તરફ જતા માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગે છે. આ ટ્રાફિક જામને કારણે સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં પાયોનિયર રોડનું કામ ચાલુ હોવાથી આ માર્ગ પર વાહનવ્યવહારને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતી ચોક રોડ પર વાહનવ્યવહારનો ધસારો વધ્યો છે અને ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની છે. આ સમસ્યાના નિવારણ માટે, 19 ફેબ્રુઆરી 2026 થી 18 માર્ચ 2026 સુધી દરરોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન ગુજરાતી ચોકમાંથી પસાર થતા વાહનોને અન્ય માર્ગ પર ડાયવર્ઝન આપવા અને રોડની બંને તરફ બેરીકેટ મૂકીને વાહનવ્યવહાર બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આનાથી ટ્રાફિક સમસ્યાને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકાશે. અગ્રણીઓએ તંત્રને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અને ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા વિનંતી કરી છે. સમયસર આયોજન અને યોગ્ય વ્યવસ્થાથી રમઝાન માસ દરમિયાન નાગરિકોને સરળ અવરજવર મળી રહે, ઇફ્તારની ખરીદી શાંતિપૂર્ણ રીતે થઈ શકે અને ટ્રાફિક જામ ન સર્જાય તે સુનિશ્ચિત કરવા પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:19 pm

ગણપત યુનિવર્સિટીમાં આવતીકાલે મેગા જૉબ ફેર નું આયોજન:18 જેટલી પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા 600થી યુવાઓને જૉબ ઓફર કરાશે; મહેસાણા જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી આયોજન

મહેસાણા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સહયોગથી આવતીકાલે ગણપત યુનિવર્સિટીમાં મેગા જોબ ફેર-2026નું આયોજન કરવામાં આવ્યું. આ રોજગાર સેતુ ના આયોજનનો હેતુ ગુજરાતમાં કાર્યરત ખાનગી ઉદ્યોગ-ગૃહો અને એમની જરૂરિયાત એવાં માનવ સંસાધનોથી યુવા વર્ગને પરસ્પર જોડવાનો છે. આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર કોર્સ કરેલા દેશના ઘણાં બધાં સ્થળોએથી આવતા રોજગારી માટે સજ્જ વિદ્યાર્થીઓ - યુવાઓને ગણપત યુનિવર્સિટી દ્વારા એક એવો મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે જેમાં એમના માટે વિવિધ ઉદ્યોગ-ગૃહો સાથે સીધો જ સંપર્ક, નોકરી માટેની તકો અને યોગ્ય વ્યવસાય સજ્જતા માટે યોગ્ય માર્ગદર્શન સાંપડી શકશે. ગણપત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ અને એક્સિક્યુટીવ એજ્યુકેશન માટેના સીનિયર ડાયરેક્ટર પ્રો. ડૉ. શ્રી કિશોર બારડના જણાવ્યા અનુસાર આ રોજગાર સેતુ ( મેગા જૉબ ફેર - 2026 )ને ખુબ જ ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે અને 600થી પણ વધારે યુવાઓએ આજ સુધીમાં નોંધણી કરાવી છે. જેઓ મહત્વના શૈક્ષણિક ક્ષેત્રોમાંથી પોતાનો અભ્યાસ પૂરો કરીને અહીં આવશે અને પોતાને યોગ્ય વ્યવસાયની તક ઝડપી લેશે. દેશ અનેવિદેશની18 જેટલી કંપનીઓ આ જૉબ ફેરમાં આવતી કાલે ગણપત યુનિવર્સિટીના આંગણે ઉપસ્થિત રહી પોતાની જરૂરિયાત મુજબના વિદ્યાર્થીઓને પસંદ કરી લેશે અને નિમણૂકની કાર્યવાહી કરશે. ગણપત યુનિવર્સિટીના આ રોજગાર સેતુ દ્વારા પોતાની પસંદગીની યુવા પ્રતિભાઓને લઇ જવા આવનારી દેશ - પરદેશની સુપ્રતિષ્ઠિત વ્યાપારી સંસ્થાઓમાં ટાટા મોટર્સ, યુનો મિન્ડા લિમિટેડ, અનુપમ ઈડસ્ટ્રીઝ, બોશ રેક્ષરોથ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ડેમિસ્ટો ટેક્નોલોજીસ, મેકેઈન ફૂડ્સ, બાકસ્ટર ફાર્મા, એસબીઆઈ લાઈફ, ટેક મહેન્દ્રા અને બીજી અનેકનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ એન્જિનિયરિંગ, આઇટી, ફરમાસ્યુટીકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, ફાયનાન્સ અને અન્ય સેવાઓના ક્ષેત્રે પ્રવૃત્ત છે એટલે પોતપોતાની કેળવણી પામી ઉત્તમ ક્ષમતા હાંસલ કરેલા યુવક - યુવતીઓને કારકિર્દીના ઘડતર માટે વિશાળ અને શ્રેષ્ઠ તકો સુલભ બની રહેશે. રોજગાર સેતુ જેવાં આયોજનો ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ ક્ષેત્રો વચ્ચે સેતુ બનવાની દ્રઢ પ્રતિબધ્ધતા વ્યક્ત કરે છે. વિકાસના માર્ગે સતત ગતિશીલ એવા ગુજરાતમાં રોજગાર સેતુ દ્વારા એક ઉત્તમ ઇકો - સિસ્ટમનું નિર્માણ થશે

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:17 pm

કેનેડાના વિઝાના નામે મહેસાણાના વકીલ સાથે 17.50 લાખની છેતરપિંડી:એજન્ટ ઓફિસ બંધ કરી ફરાર, વિઝા મંજૂર થયાના ખોટા ફોટા અને પાસપોર્ટ પ્રિન્ટિંગ રિક્વેસ્ટ મોકલી ફસાવ્યો

વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે. મહેસાણાના મોટપ ગામના રહેવાસી અને વ્યવસાયે વકીલ શંકરલાલ બાબુલાલ નાયીએ પોતાની દીકરીને કેનેડા મોકલવા માટે રાધનપુર રોડ પર આવેલી ‘સીધવ એમેજીંગ’ રાધે વિઝા નામની ઓફિસના સંચાલક ધવલ સુરેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. એજન્ટ ધવલે વર્ક પરમિટ અપાવવાનો વિશ્વાસ આપી કુલ 33 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. વકીલે એજન્ટને કટકે-કટકે 17.50 લાખ ચૂકવ્યાએપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન વકીલે એજન્ટને કટકે-કટકે RTGS, ઓનલાઇન ટ્રાન્સફર અને રોકડ મળી કુલ 17,50,000 રૂપિયા ચૂકવ્યા હતા. વિશ્વાસ કેળવવા માટે એજન્ટ ધવલે વકીલની દીકરીના મોબાઈલ પર કેનેડાના વિઝા મંજૂર થયા હોવાના ખોટા ફોટા અને પાસપોર્ટ પ્રિન્ટિંગ રિક્વેસ્ટ પણ મોકલી હતી. આરોપી સામે અગાઉ પણ વિઝા ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છેજોકે, પૈસા મેળવી લીધા બાદ એજન્ટ ધવલ પટેલ પોતાની ઓફિસ બંધ કરી ગાયબ થઈ ગયો હતો. વકીલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ધવલ પટેલ સામે અગાઉ પણ વિઝા ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 સુધીમાં નાણાં પરત આપવાનો વાયદો કર્યા બાદ પણ રકમ ન મળતા અંતે વકીલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ધવલ પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:16 pm

બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત:સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી ₹7.93 લાખનું 1200 લિટર ઘી સીઝ

બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત, તા. 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર ઇ.એસ. પટેલ અને એચ.જે. ડામોરની ટીમે ચંડીસર જી.આઈ.ડી.સી.માં પ્લોટ નં. 195 પર આવેલ 'મે. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ' નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરી હતી. પેઢીના માલિક વિપુલકુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. તંત્ર દ્વારા કાર્યવાહી કરતા, પેઢીમાંથી 'હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી' (500 મિલિ પેકિંગ) અને લૂઝ ઘી એમ કુલ બે શંકાસ્પદ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ અધિકારીઓએ બાકીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના 500 મિલિના 2400 નંગ (કુલ 1200 લિટર), જેની અંદાજિત કિંમત રૂ. 7,78,375 છે, તેમજ 40 કિલોગ્રામ લૂઝ ઘી (અંદાજિત કિંમત ₹15,600) નો સમાવેશ થાય છે. આમ, કુલ અંદાજે રૂ. 7,93,975 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ મામલે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006' હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેવાયેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:16 pm

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ 110 કરોડથી વધુનું ધિરાણ કર્યું:મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં 115 બ્રાન્ચ દ્વારા આયોજન કરાયું

આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પેઈનનું સમાપન થયું. શુક્રવારે વિઠ્ઠલ ઉદ્યોગ નગરના એલીકોન હોલ ખાતે યોજાયેલા આ કેમ્પેઈનમાં બેંકની કુલ 56 બ્રાન્ચ અને અમદાવાદ ઝોનની 59 બ્રાન્ચ દ્વારા કુલ ₹110 કરોડથી વધુનું ધિરાણ કરવામાં આવ્યું. બેંકના કાર્યપાલક નિદેશક ઇ. રતન કુમાર, અમદાવાદ અંચલ પ્રમુખ સુનીલ કુમાર સરકાર, અમદાવાદ ક્ષેત્રીય મેનેજર ગૌરવ કુમાર જૈન, ગાંધીનગરના ક્ષેત્ર મેનેજર ચંદન કુમાર ઝા, આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. ચિંતન પટેલ અને અગ્રણી જગદીશ પાટીલ સહિતના મહાનુભાવોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં આ ધિરાણ ₹200 કરોડને આંબી જશે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ વીમાધારકના પરિવારજનોને વીમા રકમના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કેમ્પેઈનમાં આણંદ અને ચરોતરના ખેડૂતોના સશક્તિકરણ, કૃષિ વિકાસને પ્રોત્સાહન, આધુનિક કૃષિ નાણાકીય વ્યવસ્થા, ટેકનોલોજી અપગ્રેડેશન અને સરકાર પ્રોત્સાહિત યોજનાઓના મહત્વ વિશે સંવાદ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કૃષિ લોન પર 7% થી શરૂ થતા આકર્ષક વ્યાજદરનો લાભ લેવા મોટી સંખ્યામાં ખેડૂતોને ભલામણ કરવામાં આવી હતી. મહાનુભાવોએ આગામી સમય માટે ખાસ વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો હોવાની માહિતી આપી હતી અને ખેડૂતોને વિવિધ કૃષિ લોન યોજનાઓ વિશે વિગતવાર માહિતી સાથે સમયસર નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સેન્ટ પોલ્ટ્રી યોજના, સેન્ટ કોલ્ડ સ્ટોરેજ યોજના, સેન્ટ ફૂડ પ્રોસેસિંગ યોજના, સેન્ટ ફિશરીઝ યોજના, સેન્ટ CKCC યોજના, ATL ડેરી યોજના, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને પીએમ-કુસુમ જેવી વિશેષ યોજનાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બેંકે સુલભ સેવાઓ માટે હંમેશા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:15 pm

ગંગા સ્વરૂપા યોજના: સહાય IPPB ખાતામાં:ઉત્તર ગુજરાતમાં 14-20 ફેબ્રુઆરીએ IPPB ખાતા ખોલવા વિશેષ અભિયાન

ગુજરાત સરકારની 'ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' (વિધવા નાણાકીય સહાય - WFA) ના લાભાર્થીઓને હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ખાતા દ્વારા સહાય મળશે. આ માટે ઉત્તર ગુજરાતમાં 14 થી 20 ફેબ્રુઆરી દરમિયાન એક વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં IPPB ખાતાઓ ખોલવામાં આવશે.આ IPPB ખાતાઓ શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે અને લાભાર્થીઓને ઘરબેઠા પૈસા ઉપાડવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ પહેલનો ઉદ્દેશ્ય વિધવા મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડી તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો છે. પોસ્ટ વિભાગ દ્વારા આ અભિયાન ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં હાલમાં કુલ 1,47,647 WFA લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તમામ WFA લાભાર્થીઓના આધાર-સીડેડ IPPB ખાતા ખોલવાની પહેલ કરવામાં આવી છે, જેથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચી શકે. લાભાર્થીઓ પોતાનું IPPB ખાતું ખોલાવવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતાઓ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક દ્વારા વિનંતી પર લાભાર્થીના ઘરે જઈને પણ ખોલી આપવામાં આવશે. ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર અને બચત ખાતાની પાસબુક જરૂરી રહેશે. IPPB ખાતું ખુલ્યા બાદ તેમાં આધાર સીડિંગ કરવામાં આવશે. જો કોઈ લાભાર્થી પાસે પહેલેથી જ IPPB ખાતું હોય, તો WFA ચુકવણી મેળવવા માટે માત્ર આધાર સીડિંગ કરાવવું જરૂરી રહેશે. લાભાર્થીનું IPPB ખાતું પહેલાથી હાજર પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે પણ લિંક કરી શકાય છે.બનાસકાંઠા મંડળના અધિક્ષક આર. એ. ગોસ્વામીએ માહિતી આપી કે બનાસકાંઠામાં કુલ 21,378 WFA લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. IPPB ખાતું ખોલવામાં કોઈ મુશ્કેલી પડે તો તેઓ સહાય માટે 9588035800 પર સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:10 pm

નાગા સાધુ તલવાર લઇ દોડ્યા:જૂનાગઢના મેળામાં અફરાતફરી, નશેડી નેક્સનવાળાને મહિલાએ ફડાકો માર્યો, હેલિકોપ્ટરમાં જાન આવતા આખું ગામ જોવા ઉમટ્યું

પૂર્ણેશ મોદી v/s શૈલેષ પરમાર 16 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં હવે ખરાખરીની ટક્કર જામશે....ભાજપમાંથી પૂર્ણેશ મોદી જ્યારે કૉંગ્રેસ પક્ષમાંથી શૈલેષ પરમારને મેદાને ઉતારવામાં આવ્યા છે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચિરાગ ગોટી મુદ્દે ભાજપના બે નેતાઓ સામસામે સુરતમાં ચિરાગ ગોટીની ધરપકડ વચ્ચે ભાજપના બે નેતાઓ સામસામે...નંદલાલ પાંડવે વિનુભાઈના નિવેદનને ટાંકી કહ્યું... જો વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી, તો ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષને કઈ રીતે હેરાન કરી રહ્યા છે....તો વળતો જવાબ આપતા મોરડિયાએ કહ્યું નકારાત્મકતા ફેલાવતા આવા નેતાઓ સામે પક્ષે પગલાં લેવા જોઈએ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દેશવ્યાપી 400 કરોડનું સાયબર કાંડ રાજકોટ પોલીસના ઓપરેશન મ્યુલ હંટમાં દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો...આરોપીઓએ ગોંડલના માર્કેટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટ ભાડે આપી કરોડાના વ્યવહારો કર્યા.....પોલીસે કુલ 6ની ધરપકડ કરી, 4 શોધખોળ શરૂ..... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભક્તિના પ્રવાહ વચ્ચે સાધુનું હિંસક વર્તન ભવનાથના મિનિકુંભમાં ભક્તિના પ્રવાહ વચ્ચે સાધુનું હિંસક વર્તન...ખુલ્લી તલવારથી શ્રદ્ધાળુને દોડાવ્યા, સૂતેલા લોકોને માર માર્યો અને કપિરાજથી પણ હુમલો કરાવી બચકાં ભરાવ્યા...દહેશત વચ્ચે પોલીસે સાધુની અટકાયત કરી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કીટલીવાળા પર 2 રાઉન્ડ ફાયરિંગ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ચાની કીટલી પર બેસવાની ના પાડતા 3 શખ્સોએ કીટલીવાળાના પગમાં ગોળી ધરબી...ઇજાગ્રસ્તના મિત્રએ કહ્યું આરોપીઓ ગાંજો વેચાતા હતા જેથી મુદ્દસરે તેમને અટકાવ્યા હતા...ચોકીથી 500 મીટર દૂર જ 2 રાઉન્ડ ફાયરિંગ થતા કામગીરી પર સવાલ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત ચાલકને મહિલાએ ફડાકો ઝીંક્યો ગાંધીનગરમાં નશામાં ધૂત કારચાલક કાળ બની i-20 કારમાં બેઠેલા પરિવાર પર ત્રાટક્યો....ભયાનક ટક્કરથી દૂર ફંગોળાયેલી કારમાંથી રડતા બાળકને કાખમાં લઈ ઉતરેલી મહિલાએ નશાખોર કારચાલકને સણસણતો તમાચો ઝીંક્યો.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરેન્દ્રનગર પંથકમાં રાજ્યપાલનો ગ્રામ્ય પ્રેમ સુરેન્દ્રનગર પંથકની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ગ્રામ્ય પ્રેમ જોવા મળ્યો..ખેતરમાં હળ ચલાવ્યું, ખેડૂતોના ઘરે ગાય દોહી તો....જમીન પર બેસી કાઠિયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુનિ.નું બોટનિકલ ગાર્ડન બન્યું રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બોટનિકલ ગાર્ડન વિદ્યાર્થીઓ માટે રિસર્ચનું કેન્દ્ર બન્યું...5 એકરમાં પ્રાકૃતિક ખેતી અને 20 પ્રકારના મેડિસનલ પ્લાન્ટનું વેવાતેર...આગામી સમયમાં અહીં ઓર્નામેન્ટલ ફિશિઝનો કોર્સ પણ શરૂ થશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓલવાણમાં લાડો હેલિકોપ્ટરમાં પરણવા આવ્યો ઉનાના ઓલવાણમાં વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા આવ્યા....તળાજાથી આવેલા વરરાજાની હેલિકોપ્ટરથી એન્ટ્રી જોવા ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા....ખેતરમાં લેન્ડિંગ બાદ લાડાનું ભવ્ય સ્વાગત થયું.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉનાળાની એન્ટ્રી પહેલા પારો 30 ડિગ્રીને પાર ઉનાળાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચ્યો....સુરતમાં 35.8, રાજકોટમાં 35.1, વડોદરામાં 34.4 જ્યારે અમદાવાદ 32.7 ડિગ્રી સેલ્સિયસ સુધી તપ્યું...

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:55 pm

ડોળાસા મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય સામે વધુ એક કેસ:સ્કોર્પિયો કાર પર 'MLA GUJARAT' લખેલું બોર્ડ લગાવ્યું, પોલીસે કાર જપ્ત કરી

ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા નજીક મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભુરો રામભાઈ વાળા (ઉના) સામે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપી પોતાની સ્કોર્પિયો કાર (રજી.નં. GJ-32-AA-5680) પર MLA GUJARAT લખેલું ખોટું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના 11 ફેબ્રુઆરી, 2026ની રાત્રે ડોળાસા ગામે બની હતી. ફરિયાદી દિલીપભાઈ જેઠાભાઈ મોરી (ઉં.વ. 46) મોટરસાયકલ પસાર કરવા બાબતે આરોપી અને તેના સાગરિતોએ મારામારી કરી હતી. આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 351(3), 54 તથા જી.પી.એક્ટ-135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એન. કાછડ દ્વારા ઘટનાસ્થળનું પંચનામું, સાક્ષીઓના નિવેદનો અને ટોલ નાકાના CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની સ્કોર્પિયો કારમાંથી MLA GUJARAT લખેલું બોર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી કોઈ ધારાસભ્ય કે સરકારી હોદ્દેદાર ન હોવા છતાં ખોટો હોદ્દો દર્શાવી લોકોને ભ્રમિત કરતો હોવાનું સામે આવ્યું હતું. આથી, તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 204 મુજબ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આશરે 5 લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે, જેમાં ઉના અને અમરેલી ખાતે મારામારી, ધમકી અને પ્રોહીબીશન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાએ જાહેર જનતાને ચેતવણી આપી છે કે, કેન્દ્ર કે રાજ્ય સરકારના પદાધિકારીઓના બોર્ડ, નિશાની કે નામનો ખોટો ઉપયોગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:53 pm

ગિફ્ટ સિટીના ચેરમેન પદે ઉદય કોટકની નિમણૂક:મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર રહેલાં હસમુખ અઢિયાની જગ્યાએ કોટક જવાબદારી સંભાળશે

ગુજરાત સરકારે ગિફ્ટ સિટી તરીકે ઓળખાતી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ (GIFT City Company Ltd.)ના ચેરમેન પદ પર ઉદય કોટકની નિમણૂક કરાઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા ઠરાવ મુજબ ઉદ્યોગપતિ ઉદય સુરેશ કોટકને કંપનીના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી નિમવામાં આવ્યા છે. હસમુખ અઢિયાની જગ્યાએ ચેરમેન પદે ઉદય કોટકની નિમણૂકઅગાઉ આ પદ પર ડૉ. હસમુખ અઢિયા (IAS નિવૃત્ત), જે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પણ ફરજ બજાવતા હતા, તેમની નિમણૂક 19 જૂન, 2023ના ઠરાવથી કરવામાં આવી હતી. હવે સરકારના નવા નિર્ણય મુજબ તેમની જગ્યાએ ઉદય કોટકને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારી ઠરાવ મુજબ આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગળના આદેશ સુધી યથાવત્ રહેશે. નિમણૂકની શરતો અને નિયમો અંગેનો નિર્ણય બાદમાં જાહેર કરવામાં આવશે. ગિફ્ટ સિટી દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને વૈશ્વિક નાણાકીય હબ તરીકે તેની ઓળખ મજબૂત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:40 pm

પાટણમાં આઈકોનિક રોડ પર લાખોના વૃક્ષો સુકાયા:કોર્પોરેટરે જાળવણીના અભાવે સરકારી નાણાંના વ્યયની તપાસ માંગી

પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તાથી ડુંગરીપરા તરફના આઈકોનિક રોડ પર લાખોના ખર્ચે થયેલું વૃક્ષારોપણ સુકાઈ ગયું છે. યોગ્ય માવજત અને સિંચાઈના અભાવે આ વૃક્ષો નષ્ટ થયા છે. આ મામલે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતકુમાર ભાટીયાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. નગરપાલિકા દ્વારા આ માર્ગને આઈકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો હતો. શહેરના સૌંદર્યીકરણ અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી ડિવાઈડર પર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જોકે, હાલ મોટાભાગના વૃક્ષો સુકાઈ જતાં પર્યાવરણના હેતુને બદલે સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોર્પોરેટર ભાટીયાએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરને માત્ર નાણાં મેળવવામાં રસ હતો. વૃક્ષોની જાળવણીમાં કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે, જેના કારણે વૃક્ષારોપણ માત્ર કાગળ પર જ થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે જાહેર નાણાંનો આ પ્રકારે બિનજવાબદાર ઉપયોગ પ્રજાહિત વિરુદ્ધ છે અને તે શાસનની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા કરે છે. આ કામ સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે શિસ્તભંગ તેમજ કાનૂની કાર્યવાહી કરવા અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવાઈ છે. વધુમાં, સુકાઈ ગયેલા વૃક્ષોના સ્થાને તાત્કાલિક નવા વૃક્ષો વાવવાની અને તેની નિયમિત દેખરેખ માટે ચોક્કસ કર્મચારીની નિમણૂક કરવાની પણ માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા સત્વરે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:30 pm

દાહોદમાં બોર્ડ પરીક્ષાની તૈયારી: ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ:શિક્ષણ મંત્રીઓ વર્ચ્યુઅલી જોડાયા, કાયદો-વ્યવસ્થા જાળવવા સૂચના

સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ આગામી તા. 26 ફેબ્રુઆરી, 2026 થી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે રાજ્યસ્તરે એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલની ઉપસ્થિતિમાં સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરીક્ષા સંબંધિત તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ઝેરોક્ષ સેન્ટરોને પરીક્ષા સમયગાળા દરમિયાન બંધ રાખવા, તમામ કેન્દ્રો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા, સંવેદનશીલ કેન્દ્રો પર SRP જવાનોની ટુકડી તૈનાત કરવા અને દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી સુવિધા કાર્યરત રહે તેની ખાતરી કરવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા, સતત વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે આયોજન કરવા અને પ્રશ્નપત્રોના સુરક્ષિત પરિવહન માટે રૂટ પોલીસ ગાર્ડની વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકાયો હતો. ઝોનલ કચેરીઓ અને સ્ટ્રોંગરૂમ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની બાબતો પર પણ ખાસ ધ્યાન અપાયું હતું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અથવા ફરજ પરના અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક આરોગ્ય સહાય મળી રહે તે માટે ફર્સ્ટ એઈડની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આંકડાકીય વિગતો અનુસાર, દાહોદ જિલ્લામાં ધોરણ 10 માટે કુલ 37 કેન્દ્રોના 121 બિલ્ડિંગના 1187 બ્લોકમાં 35,250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 23 કેન્દ્રોના 81 બિલ્ડિંગના 835 બ્લોકમાં 24,947 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 3 કેન્દ્રોના 7 બિલ્ડિંગના 104 બ્લોકમાં 2,039 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એચ. એલ. દામા, જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક દાહોદ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:22 pm

હિંમતનગરમાં સૈનિક કેન્ટીન શરૂ કરવા મંજૂરી:સાંસદની રજૂઆત બાદ 25 હજારથી વધુ માજી સૈનિકોને લાભ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ સૈનિકો માટે હિંમતનગરમાં કેન્ટીન શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી બંને જિલ્લાના 25,000થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં સરળતા રહેશે. પૂર્વ સૈનિકો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ગાંધીનગર અને અમદાવાદ જેવા દૂરના શહેરોમાં જવું પડતું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સમક્ષ રજૂઆત કરાઈ હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ બજેટ સત્ર દરમિયાન દિલ્હીમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમની રજૂઆત બાદ રક્ષા મંત્રાલય (ભારત) હેઠળ હિંમતનગરમાં કેન્ટીન સ્ટોર્સ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે 25,000થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારજનોને સીધો લાભ મળશે. હવે તેમને જીવન જરૂરી વસ્તુઓ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં અને હિંમતનગર ખાતે યોગ્ય દરે સામાન ઉપલબ્ધ થશે. સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય પૂર્વ સૈનિકોના સન્માન, સુવિધા અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:15 pm

સુરતના ખ્યાતનામ બિઝનેસમેન તુષાર ઘેલાણીના મોત કેસમાં સનસની દાવાઓ:પરિવારજનોએ કહ્યું- મહિલા બ્લેકમેઈલ કરતી, મહિલાએ કહ્યું- આત્મહત્યા નહીં પણ મર્ડર છે

સુરતના ખ્યાતનામ બિલ્ડર અને બિઝનેસમેન તુષાર ઘેલાણીના મોતના 9 દિવસ બાદ સનસનીખેજ દાવાઓ સામે આવ્યા છે. તુષાર ઘેલાણીની 'અંગત મહિલા મિત્ર'એ પોલીસમાં અરજી આપી દાવો કર્યો છે કે બિઝનેસમેને આત્મહત્યા નથી કરી પણ તેમનું મર્ડર થયું છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તુષારભાઈનો પરિવાર તેમનો એટીએમ મશીન તરીકે પૈસા માટે ઉપયોગ કરતો. પરિવાર તેમની કાળજી નહોતો રાખતો તથા માન-સન્માન પણ નહોતા આપતા. 'અંગત મહિલા મિત્ર'એ એવો પણ દાવો કર્યો છે કે દીકરીના લગ્ન માટે તુષારભાઈ ઘેલાણી તેની માતા પાસેથી 20 દિવસ પહેલા 25 લાખ રૂપિયા ઉછીના લઈ ગયા હતા. બીજી તરફ તુષાર ઘેલાણીના પરિવારજનોએ પણ પોલીસમાં મહિલાની વિરુદ્ધમાં અરજી કરી છે. જેમાં તેમણે તુષાર ઘેલાણીને આ મહિલા ત્રાસ આપીને ઈમોશનલ અને ફાયનાન્સિયલ બ્લેકમેઇલ કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરતના 'ઘેલાણી ગ્રુપ'ના માલિક 55 વર્ષીય તુષાર ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરીના રોજ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે પોતાના માથા પર ગોળી મારી હતી. 9 MMની ગોળી મગજને ચીરીને આરપાર નીકળી ગઈ હતી. ઘેલાણીને ગંભીર સ્થિતિમાં હોસ્પિલમાં દાખલ કરાયા હતા. જ્યાં 5 ફેબ્રુઆરીના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ જ દિવસે તેમની દીકરીના લગ્ન નક્કી કરાયા હતા. તુષાર ઘેલાણીએ લગ્નની કંકોત્રી બાબતે પરિવારજનો સાથે તકરાર થતા આત્મહત્યા કરી લીધાની વાતો સામે આવી હતી. ઘેલાણીએ આત્મહત્યા નથી કરી પણ તેનું મર્ડર થયું છેજો કે તુષાર ઘેલાણીની બારમાની વિધિ પણ પૂરી નથી થઈ ત્યાં નવા દાવાઓ સામે આવી રહ્યા છે. વેસુ વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી એક મહિલાએ દાવો કર્યો છે કે ઘેલાણીએ આત્મહત્યા નથી કરી પણ તેનું મર્ડર થયું છે. યુવતીએ આ સુરત શહેર પોલીસ કમિશ્નરને અરજી કરી તપાસની માગ કરી છે. બીજી તુષાર ઘેલાણીના પરિવારજનોએ મહિલા સામે અરજી કરી બ્લેકમેઈલ કરવામાં આવતા હોવાની વાત કરી છે. આ અંગે સુરત ડીસીપી નિધિ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી કહ્યું હતું કે ગઈકાલે તુષાર ઘેલાણીના પરિવારજનો દ્વારા એક અરજી કરવામાં આવી છે. જેમાં એક મહિલા દ્વારા ત્રાસ અને બ્લેકમેઈલિંગના કારણે આપઘાત કરી લીધાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આની તપાસ અમે ઉચ્ચ અધિકારના સુપરવિઝનમાં શરૂ કરી દીધી છે. આમા કોઈ તથ્ય અને પુરાવા સામે આવે તો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરીશું. બીજી તરફ જે મહિલાએ તુષાર ઘેલાણીના પરિવારજનો સામે અરજી કરી છે તેની કોપી દિવ્ય ભાસ્કરની મળી છે. અરજીના અક્ષરશઃ અંશો આ પ્રમાણે છે.... તુષારભાઈ હરજીભાઈ ઘેલાણી છેલ્લા 15-16 વર્ષથી મારા ખૂબ અંગત મિત્ર હતા અને તેઓ મારી સાથે ખૂબ સમય વિતાવતા હતા.તેઓ મને તેમની અંગત પારિવારિક વાતો પણ કરતા હતા. મને 1 જાન્યુઆરી સવારે 6 વાગ્યે સમામાર મળ્યા કે તુષારભાઈ ઘેલાણીએ પોતાની જાતને ગોળી મારી દીધી છે અને મહાવીર હોસ્પિટિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર મળતા હું ખૂબ જ દુ:ખી અને વ્યથિત થઈ ગઈ હતી, પણ તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર મળતા મને થોડી ધરપત થઈ હતી. ‘હું આ ભયાનક દ્રશ્ય જોઈને રડવા લાગી’પરંતુ થોડીવાર પછી સોશિયલ મીડિયા તથા ન્યૂઝમાં તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતાં હું તુરંત મહાવીર હોસ્પિટલ ખબર કાઢવા પહોંચી ગઈ હતી. જ્યાં જઈને મેં પ્રત્યક્ષ જોયું તો તુષારભાઈ ઘેલાણીના ગળાથી ઉપરનો ભાગ ડૉક્ટરે કવર કર્યો હોય તેમનો ચહેરો જોઈ શકાતો નહોતો. હું આ ભયાનક દ્રશ્ય જોઈને ભાંગી પડી હતી અને રડવા લાગી હતી. ત્યારે તુષારભાઈ ઘેલાણીના પરિવારજનો મારી સાથે ગમેતેમ બોલાવ્યા લાગ્યા હતા. તેમ છતા હું થોડીવાર હોસ્પિટલ રોકાઈને ત્યાં કોઈ પણ એવો બનાવ ન બને જેનાથી તુષારભાઈ ઘેલાણીને દુ:ખ પહોંચે તે માટે હું હોસ્પિટલમાંથી જતી રહી હતી. ‘મારાથી ન રહેવાતા હું ફરી હોસ્પિટલ પહોંચી’ત્યાર બાદ હું મારી રીતે તુષારભાઈ ઘેલાણીની તબિયતના સમાચાર મેળવતી રહેતી હતી. તેવામાં 4 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે તેમની તબિયતમાં સુધાર થઈ રહ્યાના સમાચાર મળ્યા હતા. તેના બે કલાક બાદ તેમના અંગદાનના સમાચાર મળતા મારાથી ન રહેવાતા હું ફરી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ‘તુષારભાઈ કોઈ કાળે આત્મહત્યા કરે તેવા વ્યક્તિ ન હતા’તુષારભાઈ ઘેલાણીના મૃત્યુને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સમાચાર માધ્યમમાં કંકોત્રી લખવા બાબતે કોઈ મનદુ:ખ કે તકરાર થવાથી આત્મહત્યા કર્યાના સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે. પરંતુ હું તુષારભાઈ ઘેલાણીને જેટલા ઓળખું છું તે હિસાબે તેઓ કોઈ કાળે આત્મહત્યા કરે તેવા વ્યક્તિ ન હતા. ‘પરિવાર માત્ર એટીએમ મશીન તરીકે જ ઉપયોગ કરતો’તુષારભાઈ ઘેલાણી મારા સંપર્કમાં આવ્યા તે પહેલાથી જ પરિવારથી ખૂબ દુ:ખી હતા અને તેમનો પરિવાર તેમની સાથે કોઈ સંબંધ રાખો ન હોવાનું મને અવાર-નવાર જણાવતા હતા. તેમનો પરિવાર માત્રને તેમનો એટીએમ મશીન તરીકે પૈસા માટે ઉપયોગ કરતો હોવાનું અને કોઈ કાળજી રાખતા ન હોવાનું તેમજ માન-સન્માન પણ આપતા ન હોવાનું મને જણાવતા હતા. તેના કારણે તેઓ ખૂબ દુ:ખી રહેતા હતા. તેઓ મજબૂત મનોબળના કારણે બધુ સહન કરીને પણ બધુ બરોબર હોવાનું સમાજ દેખાવો કરતા હતા, પરંતુ તુષારભાઈના પિતા અને તેમના બહેન આ બધી હકીકતો જાણતા હતા. તેમની હૂંફ પણ તુષારભાઈ માટે રહેતી હતી. ‘વર્ષો જુના અંગત સંબંધોના કારણે અમે 25 લાખ આપી ફરજ નિભાવી’તુષારભાઈ ઘેલાણી તેમની દીકરીના લગ્નમાં કોઈ કમી ન રહી જાય તે માટેની તમામ ચિંતા કરતા હતા અને તેઓએ તે માટે મારી માતા પાસેથી રૂપિયા 25 લાખ વિસેક દિવસ પહેલા હાથ ઉછીના લીધા હતા. અને તે માટે તુષારભાઈ મારો અને મારી માતોનો ખૂબ આભાર માનતા હતા. તુષારભાઈ સાથેના મારા વર્ષો જુના અંગત સંબંધોના કારણે અમે આને અમારી ફરજ અને સૌભાગ્યનું સામાન્ય કાર્ય હોવાનું તેમને જણાવ્યું હતું. તુષારભાઈ ઘેલાણી તેમના મોબાઈલમાં કોઈ પણ સાથે વાત કરતા, મેસેજ કરતા કે સોશિયલ મીડિયામાં કોઈ એક્ટિવિટી કરતા તે તમામની પરિવારજનોને ખબર પડી જતી હતી. તેમજ તેઓ તેમની કારમાં જ્યાં પણ જતા હતા તેના પર પણ નજર રાખવામાં આવતી હતી. પરિવારજનો તુષારભાઈ ઘેલાણીને ખૂબ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતી હતી. તેઓ મારા ઘરે મને મળવા આવતા તો પણ પરિવારજન ઘરે આવી જતા અને તુષારભાઈ સાથે ઝઘડો કરતા. આ બધા કારણોસર તુષારભાઈ છેલ્લા એકાદ વર્ષથી ખૂબ જ દુ:ખી રહેતા હતા. તેઓ પરિવાર પાસેથી પ્રેમ અને હૂંક ઈચ્છતા હતા. પણ પરિવાર તેમને પ્રેમ અને હૂંફ આપવાની જગ્યાએ ડરાવી ધમકાવીને રાખતું હતું. તુષારભાઈ ઘેલાણીએ છેલ્લે મારે સાથે 31 ડિસેમ્બરની સાજે 6થી 8 વાગ્યાની વચ્ચે ફોન કરીને વાત કરી હતી. તેઓ ખૂબ ખુશ હતા. લગ્ન પ્રસંગને કારણે બધા સગા-સંબેધીઓ પણ આવી ગયાનું અને બધુ બરોબર ચાલતું હોવાનું જણાવ્યું હતું. તેઓ ખુબ ખૂશ હોવા છતાં તુષારભાઈએ તે જ દિવસે મોડી રાત્રે એટલે કે 3-4 કલાકમાં તેમના પરિવારમાં બધા સભ્યો ભેગા થયા હોય ત્યારે એવું શું બન્યું તેઓ આત્મહત્યા કરી લે તે વાત ગળે ઉતરે તેમ નથી. તેમજ મને પૂરેપુરી શંકા છે કે તેઓનું કોઈએ મર્ડર કર્યું છે. જે તમામ સંજોગોમાં તુષારભાઈ ઘેલાણીની અકસ્માત મોત અંગે યોગ્ય તપાસ થવી જોઈએ એવી મારી નમ્ર અરજ છે. આ પ્રશ્નો હજુ પણ અનુત્તર એક સફળ બિલ્ડર અને પરિવારના મોભી એવા તુષારભાઈએ આટલું અંતિમ પગલું કેમ ભર્યું? શું માત્ર ક્ષણિક આવેશમાં આવીને આ નિર્ણય લેવાયો કે પછી કોઈ ઊંડું માનસિક દબાણ હતું? પોલીસ હાલ આ તમામ પાસાં પર તપાસ કરી રહી છે. કોણ હતા તુષાર ઘેલાણી? તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:13 pm

વલસાડમાં દારૂબંધીનો કડક અમલ, રૂ. 1.31 કરોડનો મુદ્દામાલ ઝડપાયો:4 દરોડામાં 4 આરોપીઓની ધરપકડ, તપાસ તેજ

વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે દારૂની હેરાફેરી કરતા ચાર અલગ-અલગ કેસો શોધી કાઢ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 95.87 લાખનો દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે. પ્રથમ દરોડામાં, ક્રાઈમ બ્રાન્ચે GJ-14-X-6601 નંબરના આઈશર ટેમ્પોમાંથી રૂ. 37.34 લાખની કિંમતની 3012 વિદેશી દારૂ/વોડકાની બોટલો જપ્ત કરી હતી. ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂ. 42.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની ધરપકડ કરવામાં આવી છે. બીજા કિસ્સામાં, LCB દ્વારા GJ-15-AX-6884 નંબરના ટેમ્પોમાંથી રૂ. 20.73 લાખનો ભારતીય બનાવટનો દારૂ/બીયર ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 25.78 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. ડુંગરી પોલીસે DD-01-AE-9432 નંબરના ટ્રકને આંતરી રૂ. 35.06 લાખની કિંમતની 8956 દારૂની બોટલો ઝડપી પાડી હતી. ટ્રક સહિત કુલ રૂ. 58.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોથા કિસ્સામાં, GJ-06-FQ-2717 નંબરની અર્ટિગા કારમાંથી રૂ. 2.73 લાખનો દારૂ મળી આવ્યો હતો, જેમાં કાર સહિત કુલ રૂ. 5.03 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. વલસાડ જિલ્લા પોલીસે આ ચારેય કેસમાં વાહનોના ચાલકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:08 pm

ડભોલી-જહાંગીરપુરા બ્રિજ રિપેરિંગને પગલે BRTS રૂટમાં ફેરફાર:78 દિવસ સુધી વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો, તંત્ર દ્વારા સ્પેશિયલ શટલ બસ સર્વિસ પણ શરૂ કરાઈ

સુરત શહેરના તાપી નદી પર આવેલા ડભોલી અને જહાંગીરપુરાને જોડતા રિવર બ્રિજના બંને તરફના વેરિંગ કોટ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી લાંબા સમય સુધી ચાલનારી હોવાથી અને રિપેરિંગ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રાખવો જોખમી હોવાથી મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામા મુજબ આ બ્રિજ પરનો વાહનવ્યવહાર આગામી 78 દિવસ સુધી ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. તા. 15/02/2026થી તા. 30/04/2026 સુધી જહાંગીરપુરાથી ડભોલી તરફનો ટ્રેક તમામ પ્રકારના વાહનો માટે અનિવાર્યપણે બંધ રાખવામાં આવશે, જેથી બ્રિજની મજબૂતીનું કામ નિર્વિઘ્ને પૂર્ણ કરી શકાય. કયો રૂટ બંધ રહેશે?આ રિપેરિંગ કામગીરીને કારણે BRTS અને સીટી બસ સેવાઓના રૂટ પર પણ મોટી અસર જોવા મળશે. ખાસ કરીને BRTS રૂટ નં. 13 જે જહાંગીરપુરાથી કડોદરા સુધી ચાલે છે, તેને હવે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ થઈને કડોદરા તરફ વાળવામાં આવ્યો છે. એવી જ રીતે રૂટ નં. 14 (ONGC થી કોસાડ)માં પણ ફેરફાર કરીને તેને બે અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક રૂટ ONGCથી જહાંગીરપુરા અને બીજો રૂટ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજથી કોસાડ સુધી કાર્યરત રહેશે. આ ફેરફારો તા. 13/02/2026 થી જ અમલી બનાવી દેવામાં આવ્યા છે જેથી મુસાફરોને બ્રિજ બંધ થતા કોઈ અગવડ ન પડે. ખાસ સ્પેશિયલ શટલ બસ સર્વિસ શરૂવધુમાં જહાંગીરપુરા વિસ્તારના રહીશોની સુવિધા માટે તંત્ર દ્વારા એક ખાસ સ્પેશિયલ શટલ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ જહાંગીરપુરાથી જહાંગીરપુરા સુધી એન્ટી-ક્લોકવાઈઝ લૂપમાં ચાલશે, જે ચંદ્રશેખર આઝાદ બ્રિજ, કતારગામ બ્રિજ અને ગજેરાથી ડભોલી બ્રિજ થઈને જહાંગીરપુરા પરત ફરશે. સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે, દરરોજ અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ સેવાઓનો લાભ લે છે, તેથી કામગીરી પૂર્ણ થતાની સાથે જ તમામ રૂટ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. મુસાફરોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને વૈકલ્પિક રૂટની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:01 pm

NDPS કેસમાં આરોપીને 12 વર્ષની સખત કેદ:મોહમ્મદ આરીફ સૈયદ 85 કોડીન ફોસ્ફેટ સીરપની બોટલો સાથે ઝડપાયો, કોર્ટે 2 લાખનો દંડ ફટકાર્યો

અમદાવાદના DCB પોલીસ મથકે દાણીલીમડાના રહેવાસી મોહમ્મદ આરીફ સૈયદ સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી રાજપૂતે 12 સાહેદ અને કુલ 26 પુરાવા ચકાસી તેમજ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલોને ધ્યાને લઈને આરોપીને કુલ 12 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઘરમાંથી કુલ 85 નંગ કોડીન ફોસ્ફેટ ધરાવતી સીરપની બોટલો મળી આવીકેસને વિગતે જોતા પોલીસને બાતમી મળી હતી કે, આરોપી પોતાના ઘરેથી નશાકારક સીરપનું વેચાણ કરે છે. જેને લઇને પોલીસે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. તેના ઘરમાંથી કુલ 85 નંગ કોડીન ફોસ્ફેટ ધરાવતી સીરપની બોટલો મળી આવી હતી. જેની કિંમત 15 હજાર રૂપિયા કરતા વધુ થવા જતી હતી. નશાને લઈને યુવાધન બરબાદ થઈ રહ્યું છેઉલ્લેખનીય છે કે, આરીફ અગાઉ પણ NDPSના ગુનામાં સંકળાયેલ હતો. સરકારી વકીલ તરફથી સજાના એલાન સમયે કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, નશાને લઈને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. અગાઉ પણ આરોપી આવા ગુનામાં ઝડપાયેલ છે. નશો કરનાર વ્યક્તિ જ નહીં તેના કુટુંબને પણ અનેક વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:57 pm

હિંમતનગર, ઇડર, વડાલીમાં EVM ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ:નગરપાલિકા ચૂંટણી માટે 224 CU, 448 BU નું ટેકનિકલ પરીક્ષણ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે EVM મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) પૂર્ણ થયું છે. આ પ્રક્રિયામાં કુલ 224 કંટ્રોલ યુનિટ (CU) અને 448 બેલેટ યુનિટ (BU)નું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચની સૂચના અનુસાર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ આ ચેકિંગ 13 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનું હતું. જોકે, રાજ્ય ચૂંટણી આયોગ તરફથી મળેલી નવી સૂચનાઓ મુજબ, આ પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવી હતી. નવા નિર્ધારિત સમય મુજબ, ચેકિંગની કામગીરી 12 ફેબ્રુઆરીથી હિંમતનગરની પોલીટેકનિક કોલેજના ઓલ્ડ બોયઝ હોસ્ટેલ ખાતેના EVM વેરહાઉસમાં શરૂ થઈ હતી. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) કંપનીના બે એન્જિનિયરો સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુરુવાર અને શુક્રવારે બે દિવસ સુધી EVM મશીનોનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમ, હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના વેરહાઉસમાં રાખવામાં આવેલા 224 CU અને 448 BUનું ફર્સ્ટ લેવલ ચેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:54 pm

ગુંડા ચિરાગ ગોટીનો પાપનો ઘડો છલકાયો:વધુ એક ફરિયાદ 3 લાખ સામે 18 લાખની માંગણી, 40 માણસો સાથે બિલ્ડરના ઘરે જઈ આપી ધમકી, અત્યાર સુધીમાં 10 ફરિયાદ

સુરતમાં કુખ્યાત વ્યાજખોર ચિરાગ ગોટીનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં સરન્ડર કર્યા બાદ ચિરાગ વિરુદ્ધ એક પછી એક ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે. કાલે શહેરના ચોક બજાર પોલીસ મથકે રજની વાવડીયા નામના બિલ્ડરે ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી અને ધમકીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આરોપી 40 જેટલા માણસોનું ટોળું લઈને બિલ્ડરના ઘરે પહોંચી ગયો હતોફરિયાદી બિલ્ડર રજની વાવડીયાએ પોલીસને જણાવ્યું હતું કે, અગાઉ તેમને અચાનક નાણાંની જરૂરિયાત ઊભી થતા તેમણે ચિરાગ ગોટીનો સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી રૂ. 3 લાખ વ્યાજે લીધા હતા. જોકે, થોડા સમય બાદ ચિરાગે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. બિલ્ડર જ્યારે તેનો ફોન ઉપાડી શક્યા નહોતા ત્યારે ચિરાગ ગોટી અંદાજે 40 જેટલા માણસોનું ટોળું લઈને બિલ્ડરના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં તેણે પરિવારની હાજરીમાં બીભત્સ ગાળો આપી, હથિયાર બતાવીને 3 લાખના બદલામાં તાત્કાલિક 18 લાખ ચૂકવી દેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બિલ્ડરે રુપિયાની જરુર પડતાં ચિરાગનો સંપર્ક કર્યો હતોSOGના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, ચિરાગ ગોટીના અનેક વિડિયો વાયરલ થયા છે અને ત્યારબાદ લોકો ફરિયાદ નોંધાવા પહોંચી રહ્યા છે ગઈકાલે રજની વાવડીયા નામના બિલ્ડરે ચોક બજારમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેને અચાનક રૂપિયાની જરૂર પડતા ચિરાગ ગોટીનો સંપર્ક કર્યો હતો અને ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને પછી ચિરાગ નો ફોન ના ઉપાડતા ફરિયાદીના ઘરે ચિરાગ ગોટીએ 40 માણસો લઈ જઈ ધાક ધમકી આપી 18 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવવા માટે તેને ઘાતક હથિયાર વડે ધમકી આપી હતી જેની ફરિયાદ ચોક બજાર વિસ્તારમાં નોંધાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છેચિરાગ ગોટી વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 10 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાં તે નિર્દોષ લોકોને ઢોર માર મારતો, હવામાં ફાયરિંગ કરતો અને રિવોલ્વર બતાવી ધમકાવતો જોવા મળે છે. એક વીડિયોમાં તો તે પીડિતને ગાદલા પર સુવડાવીને લાકડીઓથી ફટકારતો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય એક કિસ્સામાં તેણે જમીન દલાલ જીગ્નેશ વ્યાસ પાસેથી 23 કરોડ પડાવ્યા હોવાનો આક્ષેપ પણ થયો છે. ચિરાગના પિતાની પણ ધરપકડ માત્ર ચિરાગ જ નહીં, પરંતુ તેના કાળા કામોમાં સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી વિરુદ્ધ પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચોક બજાર પોલીસે ખંડણીના ગુનામાં ચિરાગના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ચિરાગ પોતાની ધાક જમાવવા માટે માર મારવાના વીડિયો શૂટ કરી તેને વાયરલ કરતો હતો. જેથી, કોઈ તેની સામે અવાજ ન ઉઠાવે. SOG દ્વારા પીડિતોને અપીલ સુરત પોલીસ કમિશનર અને SOG દ્વારા પીડિતોને ડર્યા વગર સામે આવવા અપીલ કરવામાં આવી છે. ચિરાગ ગોટીના વધતા ગુનાહિત ઇતિહાસને જોતા પોલીસ તેની સામે ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:51 pm

પાટણ નગરપાલિકાએ ઝીરો વેસ્ટ ઇવેન્ટનું આયોજન કર્યું:પ્રાદેશિક કમિશનરે વિલંબિત પ્રોજેક્ટ્સ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી

ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર દ્વારા પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે નવીન સર્કિટ હાઉસ ખાતે એક રિવ્યુ મીટિંગ યોજાઈ હતી. પાટણ નગરપાલિકાએ આ બેઠકનું 'ઝીરો વેસ્ટ ઇવેન્ટ' તરીકે આયોજન કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ બેઠકમાં ખાસ કરીને પાટણના વિલંબિત પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઝીરો વેસ્ટ આયોજન હેઠળ, મીટિંગ માટેના તમામ બેનરો વેસ્ટ પેપરમાંથી બનાવવામાં આવ્યા હતા, જેનાથી ખર્ચમાં ઘટાડો થયો. કાર્યક્રમ દરમિયાન ભોજનનો બગાડ અટકાવવા માટેના પગલાં લેવાયા હતા અને પ્લાસ્ટિક કે અન્ય કોઈ પણ પ્રકારની ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. વિકાસ કામોની સમીક્ષા દરમિયાન, પાટણ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા વિલંબિત પ્રોજેક્ટ્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું. TP-2 વિસ્તારમાં ગાર્ડનનું નિર્માણ અને પીતાંબર તળાવના ડેવલપમેન્ટના કામમાં થઈ રહેલા વિલંબ અંગે પ્રાદેશિક કમિશનરે ગંભીર નોંધ લીધી. તેમણે આ બંને મહત્વના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપી વહેલી તકે પૂર્ણ કરવા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત, અન્ય ચાલુ વિકાસના કામોમાં ગુણવત્તા જાળવી તેને સમયમર્યાદામાં પૂરા કરવા માટે પણ પ્રાદેશિક કમિશનર દ્વારા કડક તાકીદ કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. 17 ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્યના અધિકૃત પ્રતિનિધિને હિતેશ ઠક્કર ને બેઠકમાં પ્રવેશ ન અપાતા અને તેની સામે હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિને સ્થાન મળતા, હારીજ શહેર કોંગ્રેસ પ્રમુખ નિતિન ઠક્કરે સરકારની બેવડી નીતિ સામે સવાલો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:50 pm

મોરબી નાગરિક બેંકના ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી:દીપક પોપટ ચેરમેન, મનીષ ઓગણજા વાઇસ ચેરમેન બન્યા

મોરબી નાગરિક સહકારી બેંકના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. દીપકભાઈ પોપટને ચેરમેન અને મનીષભાઈ ઓગણજાને વાઇસ ચેરમેન પદે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી ડિરેક્ટરોની પ્રથમ બેઠકમાં કરવામાં આવી હતી. તાજેતરમાં બેંકના 9 પૈકીના 6 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 'ફૂલ' પેનલમાંથી 5 અને 'સિંહ' પેનલમાંથી 1 ઉમેદવાર વિજેતા બન્યા હતા. અગાઉ 3 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા, જેથી કુલ 9 ડિરેક્ટરોની ટીમ પૂર્ણ થઈ હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટે મળેલી પ્રથમ બેઠકમાં કુલ 9 ડિરેક્ટરોમાંથી 8 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. હાજર રહેલા ડિરેક્ટરોમાં દીપકભાઈ પોપટ, પરેશભાઈ કચોરિયા, સંજયભાઈ ધોળકિયા, ભૂપતભાઈ રવેશિયા, મનીષભાઈ ઓગણજા, જ્યોતિબેન મીરાણી, વિજયભાઈ મકવાણા અને અશ્વિનભાઈ કોટકનો સમાવેશ થાય છે. નવનિયુક્ત ચેરમેન દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે, બેંકની સેવાઓને ડિજિટલ યુગમાં વધુમાં વધુ ડિજિટલ બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, લોકો આ સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે વ્યવસ્થા ઊભી કરાશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:42 pm

સાબરકાંઠામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા:5 કેન્દ્રો પર 553 વિદ્યાર્થીઓ હાજર, 7 ગેરહાજર રહ્યા

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના આઠમા દિવસે પાંચ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. કુલ 560 વિદ્યાર્થીઓમાંથી 553 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 7 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 5થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે. આ પરીક્ષા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં આવેલા કુલ 11 કેન્દ્રો પર લેવામાં આવી રહી છે. શુક્રવારે યોજાયેલી પરીક્ષામાં રસાયણ વિજ્ઞાન વિષયમાં 200 માંથી 194 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ભૌતિક વિજ્ઞાનમાં 200 માંથી તમામ 200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જીવ વિજ્ઞાન વિષયમાં 160 માંથી 159 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:40 pm

વિપક્ષે 922 કરોડના સુધારા સાથે બજેટ મૂક્યું:શહેરમાં નાગરિકોને 24× 7 પાણી પૂરું પાડો, ગીચ વિસ્તારમાંથી BRTS દૂર કરો, ભ્રષ્ટાચાર દૂર કરવા લોકપાલની નિમણૂક કરો

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કુલ રૂપિયા 18,518 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ પોતાના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા 652 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો સહિત 922 કરોડ રૂપિયાનો સુધારો મૂકી 19,440 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરના નાગરિકો પ્રોપર્ટી ટેક્સ સમયસર ન ભરે તો તેમાં 18% વ્યાજ વસૂલ કરવામાં આવે છે તેને ઓછું કરી 7% કરવા માટેની બજેટમાં રજૂઆત કરી હતી. ‘24 કલાક પાણી ને ગીચ વિસ્તારમાંથી BRTS બંધ કરવા રજૂઆત’વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ કોંગ્રેસનું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોએ માત્ર કલ્પનાઓનું જ બજેટ રજૂ કર્યું છે. દર વર્ષે બજેટમાં સુધારો મૂકવામાં આવે છે, પરંતુ અસરકારક રીતે તેનો ઉપયોગ થતો નથી. કોંગ્રેસે રજૂ કરેલા બજેટમાં શહેરમાં નાગરિકોને 24 કલાક અને 365 દિવસ પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ગીચ વિસ્તારમાંથી બીઆરટીએસ દૂર કરવા અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે માસ્ટર પ્લાન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ‘અમદાવાદમાં રિહેબ સેન્ટર બનાવવા 5 કરોડ રૂપિયાની ફાળવણી’શહેરમાં યુવા વર્ગ દારૂ, ચરસ, ગાંજો જેવા નશાકારક ચીજ વસ્તુઓની નશાખોરી કરી રહ્યા છે ત્યારે તેની આદત છોડાવવા માટે અમદાવાદમાં રિહેબ સેન્ટર બનાવવા માટે પણ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ‘લોકપાલ નિમણૂક કરવાની માગ’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોને પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલે છે જેની અનેક રજૂઆતો કમિશનર અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોને કરવામાં આવી છે ત્યારે કોઈ કાર્યવાહી થઈ નથી જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત બને તેના માટે તટસ્થ તેમજ તપાસ એજન્સી તરીકે લોકપાલ નિમણૂક કરવાની માગ કોંગ્રેસે કરી છે. ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી વોર્ડ દીઠ યોગ્ય જગ્યાએ પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ, કચરા વગેરેના નિકાલની સુવિધા સાથે બજારનું આયોજન કરવા 20 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે. ‘સ્પીડ બ્રેકરો અને ફૂટપાથ બનાવવા માટે પોલિસી’મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત નાના-મોટા રોજગાર કરતી મહિલાઓને પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ આપવાથી આર્થિક ટેકો મળી રહે અને મહિલાઓ ધંધો રોજગાર કરવા પ્રેરાય તેના માટે મહિલા આંતરપ્રિન્યોર માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા માટેનું પણ ઠરાવવામાં આવ્યું છે. શહેરમાં તમામ સ્ટ્રીટ લાઈટો પર સોલાર પેનલ નાખવા માટેની પણ 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં અનેક જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલા છે અને મોટી ફૂટપાથો બનેલી છે તેના માટેની કોઈ પોલિસી નથી. ખાસ કરીને સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત થતા હોય છે જેથી સ્પીડ બ્રેકરો અને ફૂટપાથ બનાવવા માટે પોલિસી બનાવવા ઠરાવવામાં આવ્યું છે. ‘વિરાસતો બચાવવા 50 કરોડની ફાળવણી’અમદાવાદમાં રોડ રીસરફેસની પોલિસી બનાવવા માટેની પણ માગ કરવામાં આવી છે. હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે સંસ્કૃતિ રૂપી વિરાસતો બચાવવા 50 કરોડ અને શહેરના ઐતિહાસિક ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવા માટે પોલિસી બનાવીને 50 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં આવેલા તમામ ફ્રેન્ચવેલ કાર્યરત કરવા માટે પણ 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે દરેક ઝોનમાં રેન બસેરાનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવી સુવિધા સાથે બનાવવા પણ 10 કરોડની ફાળવણી કરાઈ છે. ‘બજેટ સેશનમાં કોંગ્રેસ સુધારા રજૂ કરશે’વિપક્ષ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 652 કરોડ રૂપિયા વિકાસના કામો, વીએસ હોસ્પિટલ માટે 200 કરોડ, માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય માટે એક કરોડ, એએમટીએસ માટે 25 કરોડ અને સ્કૂલ બોર્ડ માટે 69 કરોડ એમ કુલ 922 કરોડ રૂપિયાનો સુધારો મૂકવામાં આવ્યો છે. વિકાસ કામો 652 કરોડ રૂપિયાના છે. 19 અને 20 ફેબ્રુઆરીના રોજ મળનારા બજેટ સેશનમાં કોંગ્રેસ દ્વારા પોતાના સુધારા રજૂ કરાશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:38 pm

બોટાદમાં બ્રહ્માકુમારીઝ મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરશે:15 ફેબ્રુઆરીએ શિવ નૃત્ય, જ્યોતિર્લિંગ દર્શન; શાંતિ શિબિર પણ

બોટાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા બ્રહ્માકુમારીઝ, જે 142 થી વધુ દેશોમાં કાર્યરત છે, તેનું બોટાદ સેવા કેન્દ્ર 15 ફેબ્રુઆરી, 2026 રવિવારના રોજ સાંજે 8:30 કલાકે આ મહોત્સવ યોજશે. સ્થળ સુંદરમ્ સ્કૂલ સામે, નારાયણ નગર, પાળીયાદ રોડ, બોટાદ છે. આ મહોત્સવમાં 12 જ્યોતિર્લિંગ દર્શન, શિવનૃત્ય અને શિવ સંદેશ પ્રવચન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. મુખ્ય સંચાલિકા બ્ર.કુ.નીતા દીદીના સાનિધ્યમાં અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મહાશિવરાત્રી મહોત્સવ ઉપરાંત, બ્રહ્માકુમારીઝ બોટાદ દ્વારા 'શાંત જીવન શિબિર: વાહ... જિંદગી વાહ' નું પણ આયોજન કરાયું છે. આ શિબિર 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 8:30 થી 10:00 કલાકે સુંદરમ્ સ્કૂલ સામે, પાળીયાદ રોડ, બોટાદ ખાતે યોજાશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય રાજયોગ મેડિટેશન દ્વારા ચિંતાઓ દૂર કરી ખુશી અને શાંતિનો અનુભવ કરાવવાનો છે. શિબિરમાં મેડિટેશન દ્વારા આત્મ અનુભૂતિ, સકારાત્મક બનવાની કળા, સંસ્કાર પરિવર્તનથી જીવન પરિવર્તન, પરમાત્મ શક્તિઓની અનુભૂતિ અને ઈશ્વરીય જ્ઞાન જેવા વિષયો પર સમજૂતી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:36 pm

વડનગરના ઉણાદ ગામ નજીક બસ અને ટ્રકની ટક્કર:ટ્રકની બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો, મુસાફરો ભરેલી બસ પલટતાં 8થી વધુ ઇજાગ્રસ્ત

વડનગર નજીક ઉઢાઈ નાળા અને ઉણાદ ગામ વચ્ચે આજે એક એસ.ટી. બસ અને લોડિંગ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસ પલટી મારી જતાં તેમાં સવાર 25 મુસાફરો પૈકી 8થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોડિંગ ટ્રકની બ્રેક ન વાગવાના કારણે ટ્રક સીધી બસ સાથે અથડાઈહિંમતનગર વિભાગની ઇડર ડેપોની લોકલ બસ ઇડરથી ખેરાલુ તરફ જઈ રહી હતી. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી રાજસ્થાન પાસિંગની ખીલાસળી ભરેલી લોડિંગ ટ્રકની બ્રેક ન વાગવાના કારણે ટ્રક સીધી બસ સાથે અથડાઈ હતી, જેના કારણે બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટ્રક ચાલકને પણ સ્થાનિકોએ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતોવડનગર ડેપો મેનેજર એ.ડી. મોદીએ આ અંગે ભાસ્કરને માહિતી આપતા જણાવ્યું હતું કે, બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 8થી વધુ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઇવરને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે ટ્રક ચાલકને પણ સ્થાનિકોએ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરીઅકસ્માતની જાણ થતા જ વડનગર ડેપો મેનેજર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. હાલમાં તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:23 pm

ગોંડલના માર્કેટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટ ભાડે આપી કરોડોના વ્યવહાર:બેન્ક ખાતાં પેઢી સાથે લિંક કરીને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, 6ની ધરપકડ; 400 કરોડનું સાયબર કાંડ

રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે જેમાં દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડ થયા હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત આરોપીઓની ઊંડાણ પૂર્વક તપાસ કરતા આરોપીઓ મોટા ભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કારણ કે એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ આશાનીથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલતા હતાં. આ કેસમાં પોલીસ કુલ 6 આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી સહીત ફરાર અન્ય 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે. ત્યારે દેશવ્યાપી આ સાયબર ફ્રોડ કૌભાંડમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ખુલાસા થવાની પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે. 400 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયુંરાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ એકાઉન્ટ તપાસ અંતર્ગત દેશવ્યાપી 400 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ રાજકોટ ગ્રામ્યની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યું છે. રાજકોટ ગ્રામ્યના સાયબર ક્રાઇમ પીઆઇ રવિ ગોધમ અને તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ટેક્નિકલ એનાલિસિસ કરતા જાણવા મળ્યું હતું કે, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર એક એકાઉન્ટ નંબર ઉપર 66 જેટલી ફરિયાદ સાયબર ફ્રોડની આવેલી છે. દોઢ વર્ષની અંદર 198 કરોડનું ટ્રાન્ઝેક્શન જેમાં તપાસ કરતા આ એકાઉન્ટ ગોંડલની જ્યોત એન્ટરપ્રાઇઝ નામની પેઢીનું હોવાનું સામે આવ્યું હતું. જેને ગોંડલનો 25 વર્ષીય યુવાન જય નાંદપરા ચલાવતો હતો. જેથી એકાઉન્ટ હોલ્ડર જય નાંદપરાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની પાસે કુલ 6 જેટલા બેન્ક એકાઉન્ટ છે જે બે અલગ અલગ ટ્રેડિંગ પેઢીના નામના હોવાનું સામે આવ્યું છે જેમાં છેલ્લા દોઢ વર્ષની અંદર કુલ 198 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. 150 કરોડના ટ્રાન્ઝેક્શન ને 200થી 400 રૂપિયા સુધી કમિશનઆ ઉપરાંત બીજા સહઆરોપી મનીષ છગનભાઇ કમાણી હોવાનું સામે આવ્યું જેના પણ અલગ અલગ એકાઉન્ટમાં 150 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે, જયારે ત્રીજા આરોપી પ્રવિણસિંહ ભુપતભાઇ પરમારના એકાઉન્ટમાં 33 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. આ ત્રણેય આરોપી જય નાંદપરા, મનીષ કમાણી અને પ્રવિણસિંહ પરમાર દેશભરમાં થતી સાયબર ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમાં લેતા હતા અને બાદમાં તેમને એક લાખ રૂપિયા ઉપર 200થી 400 રૂપિયા સુધી કમિશન મળતું હતું. રોકડ ઉપાડીને અન્ય જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર કરી આપતાએકાઉન્ટ હોડલર ઉપરાંત ગોંડલના ઋષિત રૈયાણીને ઝડપી પાડવામાં આવ્યો છે જે પોતે મિડિયેટર હોવાનું સામે આવ્યું છે, પોતે એકાઉન્ટ ખોલાવી આપવાનું તેમજ એકાઉન્ટ મેળવી આપવાનું કામ કરતો હતો, જયારે આરોપીઓ સાથે સંડોવાયેલ આંગડિયા પેઢીના બે માણસો મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. કારણ કે તેઓ આ ગુનામાં આરોપીઓ સાથે મળી સાયબર ફ્રોડની રકમ હોવાનું જાણવા છતાં મિડિયેટર મારફત આરોપીઓના સંપર્કમાં રહી ફ્રોડની રકમ આવ્યા બાદ રોકડ ઉપાડ કરી અન્ય જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર કરી આપતા હતા. ત્રણના એકાઉન્ટમાં 380 કરોડનું ટ્રાન્ઝેક્શનઅત્યારસુધીની તપાસમાં 380 કરોડનું ટ્રાન્ઝેક્શન આ ત્રણ આરોપીઓના અલગ અલગ એકાઉન્ટમાં થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આખા દેશમાંથી આ ત્રણ આરોપીઓના એકાઉન્ટમાં ગુજરાત રાજ્યની 12 સહીત દેશભરના 11 રાજ્યમાંથી મળી કુલ 130 જેટલી ફરી ઓનલાઇન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર મળી હોવાનું સામે આવ્યું છે. 6 આરોપીની ધરપકડ ને 4 ફરારહાલ પોલીસે ગોંડલના આરોપી જય નાંદપરા (ઉ.વ.25), રાજકોટના આરોપી મનીષ કમાણી (ઉ.વ.48), પ્રવિણસિંહ પરમાર (ઉ.વ.28), મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.25), મયુરસિંહ વાઘેલા (ઉ.વ.22) અને ગોંડલના ઋષિત રૈયાણી (ઉ.વ.26)ની ધરપકડ કરી બાકીના ફરાર ચાર આરોપી હૈદરાબાદના આદિલ ઉદીન, ગોંડલના લાલાભાઇ ઝાલાવડીયા, અને હર્ષિલ શાહ તેમજ મુંબઈના ભરત પરમારની શોધખોળ હાથ ધરી છે. હૈદરાબાદનો આદિલ આખું નેટવર્ક ઓપરેટ કરતોતમામ આરોપીઓ એકાઉન્ટ રાજકોટમાં જ ખોલાવતાં હતા જેમાં અન્ય રાજ્યમાંથી સાયબર ફ્રોડની રકમ આવતી હતી બાદમાં તેને ઉપાડી આંગડિયા પેઢી મારફત તેમજ બેન્ક મારફત દેશના અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનો આરોપી આદિલ મુખ્ય આરોપી છે જે આખું નેટવર્ક ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું છે જેમાં ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કુલ 12 અરજીઓમાં કરોડોનું કાંડપોલીસ તપાસમાં આરોપી જય મનસુખભાઇ નાદપરા તથા આરોપી મનીષભાઇ છગનભાઇ કામાણી દ્વારા ગુજરાત રાજ્યમાં કુલ 12 અરજીઓમાં કુલ રૂ.3 કરોડ 10 લાખ 48 હજાર 547 તથા ભારતના અન્ય રાજ્યોમાં કુલ 103 અરજીઓમાં કુલ રૂ.12 કરોડ 97 લાખ 31 હજાર 486ના કુલ સાયબર ફ્રોડના રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:17 pm

વૃદ્ધા પર હુમલો કરનારની જાહેરમાં ઉઠક-બેઠક:ગઢડાના ઈશ્વરીયા ગામે 75 વર્ષીય વૃદ્ધા પર હુમલો કર્યો હતો, પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, આરોપી પગે પડ્યો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે ૭૫ વર્ષીય વૃદ્ધા પર આબરૂ લૂંટવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગઢડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે કાના ભુપતભાઈ ગોહિલની ધરપકડ કરી હતી. વૃદ્ધાને માર મારતા તેમના બે દાંત પડી ગયા હતા અને અન્ય ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈશ્વરીયા ગામમાં ૭૫ વર્ષીય વૃદ્ધા એકલા રહેતા હતા. ગામના જ નરેન્દ્રસિંહ ઉર્ફે કાના ભુપતભાઈ ગોહિલે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલાનો ઈરાદો વૃદ્ધાની આબરૂ લૂંટવાનો હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ઘટના કેવી રીતે બની તેની વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઈશ્વરીયા ગામમાં જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી અને મહિલાઓની માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ BNS74, 117-2, 115-2, 329-4, 352, 351-3 કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે બોટાદના DySP મહર્ષિ રાવલે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:13 pm

MGVCL એ લુણાવાડામાં વીજ કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:સલામતીના નિયમોનું પાલન કરી ઝીરો એક્સિડન્ટ લક્ષ્ય નક્કી કરાયું

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા લુણાવાડા વિભાગીય કચેરી ખાતે વીજ કર્મચારીઓની સલામતી માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વીજ સમારકામ જેવી જોખમી કામગીરી દરમિયાન કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, એક વિશેષ પ્રેઝન્ટેશન દ્વારા વીજ કંપનીના પ્રવર્તમાન સલામતીના ધારાધોરણોની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ભૂતકાળમાં બનેલા વીજ અકસ્માતો અને તેના કારણોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ કર્મચારીઓને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની શીખ આપવામાં આવી હતી. ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે ero Accident (શૂન્ય અકસ્માત) ના લક્ષ્યાંક સાથે કામગીરી કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વડોદરા મુખ્ય કચેરીના એડિશનલ ચીફ એન્જિનિયર ડી.વી. પટેલના વડપણ હેઠળ યોજાયો હતો. લુણાવાડાના કાર્યપાલક ઇજનેર યુ.એ. સોલંકી અને આર.બી. માલિવાડનું વિશેષ માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે મહીસાગર જિલ્લામાં આવેલી MGVCLની વિવિધ પેટા વિભાગીય કચેરીઓના લાઈન સ્ટાફ તથા નાયબ ઈજનેરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વીજ લાઈન સમારકામ દરમિયાન લાઈનમેન સાથે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા અને સુરક્ષા પ્રત્યે સજાગતા કેળવવાની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:13 pm

'PIL એ બોલવા માટેનો મંચ નથી':હાઇકોર્ટે VMC ગરબાના ગ્રાઉન્ડને લઈને અરજદારની અરજી નકારી, કહ્યું- 'તમે પાર્ટી ઇન પર્સન તરીકે કોઈનો પક્ષ રજૂ કરી શકો નહીં'

ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી રાહુલ વ્યાસે પાર્ટી ઇન પર્સન તરીકે ગરબાના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે ફેબ્રુઆરી મહિનામાં ગરબા અંગેની જાહેર હિતની અરજી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અરજદારે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા તેના વિસ્તારમાં આવતા તમામ ગરબા ગ્રાઉન્ડ માત્ર 1 રૂપિયાના ટોકને આપે છે. જ્યારે આયોજકો ખેલૈયાઓ પાસેથી ગરબા રમવા અને જોવા માટે મસમોટી ફી વસૂલે છે. VMC નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છેકોર્ટે કહ્યું હતું કે, ઓર્ગેનાઇઝર રૂપિયા ખર્ચીને ગરબાનું આયોજન કરે છે તો રૂપિયા તો લે જ ને! , ફ્રી એન્ટ્રી કેવી રીતે આપે? ગરબા ઇવેન્ટનું આયોજન VMC કરતું નથી. ગરબા ગુજરાતીના હૃદય અને આત્મા છે, VMC તેને પ્રમોટ કરે છે. જોકે, અરજદારે કહ્યું હતું કે ગરબા ગ્રાઉન્ડ 1 રૂપિયાના ભાડે આપવાથી, VMCને દર વર્ષે 600 કરોડનું નુકશાન થાય છે. કોર્ટે કહ્યું હતું કે, VMC નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. ભેદભાવ પૂર્વક ગ્રાઉન્ડ ફાળવ્યું હોય તો તેના માટે અલગ કાનૂની ઉપચાર છેઅરજદારે જણાવ્યું હતું કે, VMCના સત્તા પક્ષ દ્વારા બીટા ઓર્ગેનાઇઝરને દર વર્ષે અકોટા ગ્રાઉન્ડ 1 રૂપિયાના ટોકને અપાય છે, આ ઓર્ગેનાઈઝર લાખો રૂપિયા લોકો પાસેથી વસૂલે છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે આ પર્સનલ મેટર છે, જો ભેદભાવ પૂર્વક ગ્રાઉન્ડ ફાળવ્યું હોય તો તેના માટે અલગ કાનૂની ઉપચારો ઉપલબ્ધ છે. તેના માટે જાહેર હિતની અરજી થઈ શકે નહીં. PIL એ બોલવા માટેનો મંચ નથીઅરજદારે જણાવ્યું હતું કે, 30 વર્ષથી VMCમાં આવું ચાલે છે, ગરબા જોવાના પણ પૈસા આયોજકો લે છે. જોકે, હાઇકોર્ટે અરજદારને કહ્યું હતું કે PIL એ બોલવા માટેનો મંચ નથી, અહીં કાયદાના ફ્રેમવર્ક મુજબ કામ ચાલે છે. VMCએ પૂછ્યું હતું કે, અરજદાર શું કરે છે તે અરજીમાં સ્પષ્ટ નથી ? તે લોકસભાની ચૂંટણી લડ્યો છે. બીજી વખત આવી અરજી કરી તો દંડ કરવામા આવશેહાઇકોર્ટે અરજદારને પ્રશ્ન કરતા તેને જણાવ્યું હતું કે, અરજદાર પોતે લીગલ કન્સલટન્ટ છે, બીજા એક અરજદાર વકીલ અને ત્રીજા અરજદાર વડોદરાનો રહેવાસી નાગરિક છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે તમે ચૂંટણી વચનોમાં આ વાત કરજો, આ અરજી રદ્દ કરવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે પાર્ટી ઇન પર્સન તરીકે કોઈનો પક્ષ રજૂ કરી શકો નહીં, બીજી વખત આવી અરજી કરી તો દંડ કરવામા આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:12 pm

પોલીસ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીને અડફેટે લીધો:થલતેજ મેટ્રો સ્ટેશન પાસે લાયસન્સ વગર ગાડી ચલાવનાર કાર ચાલકે પોલીસકર્મીને ટક્કર મારી, ફ્રેક્ચર થયું

શહેરના થલતેજ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે NSG કમાન્ડો દ્વારા મોક ડ્રીલનું આયોજન 12 જાન્યુઆરીના રોજ રાત્રે કરવામાં આવ્યું હતું. મોકડ્રીલમાં સ્થાનિક બોડકદેવ પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે રોડ પર અવર-જવર બંધ કરાવી હતી ત્યારે શીલજ થી થલતેજ ગામ તરફ આવતા એ કાર ચાલકે ઉપાડ ઝડપે ગાડી ચલાવી હતી જેને પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા રોકવામાં આવી હતી પરંતુ તેણે તેની ઉપર ગાડી ચડાવી દીધી હતી અને પાડી દીધાતા જેમાં તેને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોડકદેવ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ કાર ચડાવવા પ્રયાસ કર્યોએસીપી એસ.એમ.પટેલ એ જણાવ્યું હતું કે થલતેજ મેટ્રો સ્ટેશન ખાતે 12 જાન્યુઆરીના રોજ રાત્રે મોખડેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડકદેવ પોલીસ બંદોબસ્તમાં હતી. મોકડ્રીલ ચાલી રહી હતી જે દરમિયાનમાં શીલજ ગામ તરફથી પૂરઝડપે થલતેજ મેટ્રો સ્ટેશન તરફ એક કાર ચાલક આવી રહ્યો હતો. જેથી બોડકદેવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય સ્ટાફ હાજર હતો.જેથી સરદાર સિંહે આ ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કારચાલક દ્વારા કાર રોકવામાં આવી નહીં અને તેમની ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ નીચે પડી ગયા અને તેમને શરીરના ભાગે ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તાત્કાલિક કારચાલકને પકડી લેવામાં આવ્યો હતો. આરોપી સાથે કારમાં યુવતી પણ હતીકારચાલકનું નામ યશ સોની હોવાનું જાણવા મળ્યું છે શીલજ પાસે આવેલા એક સ્પામાં નોકરી કરે છે અને તેની સાથે ગાડીમાં એક યુવતી પણ હતી, જે તેની સાથે જ સ્પામાં નોકરી કરે છે. કારચાલક યશ પાસે ગાડીનું લાયસન્સ નહોતું જેના કારણે થઈને તેણે પોલીસ રોકશે તેવા ડરના કારણે પુરપાટ ઝડપે ગાડી ચલાવી દીધી હતી. આ મામલે યશ સોની વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:07 pm

ગોડાઉનમાં મૂકેલો સામાન બળીને ખાખ:ફતેગંજના સદર બજારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ, ફાયરે આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સદર બજારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો સતત મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ આગમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ગોડાઉનમાં ખીચોખીચ રીતે પ્લાસ્ટિકની ડીશો સહિતનો સામાન મૂકાયો હતોશહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ધવલ દલાલ વિવિધ પ્રકારના પતરાળાંની ડીશનો ધંધો કરે છે. તેમણે સદર બજારમાં આવેલા એક મકાનને સામાન રાખવા માટેનું ગોડાઉન બનાવ્યું છે. આ ગોડાઉનમાં ખીચોખીચ રીતે પ્લાસ્ટિકની વિવિધ ડીશો સહિતનો સામાન મૂકવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સામાન બળીને ખાખઆજે અચાનક શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. સામાનના કારણે આગ વધુ વિકરાળ બની હતી. જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાઈ હતી. બદામડી બાગના ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ ફતેગંજ સદર બહાર ખાતે પહોંચી ગયો હતો અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવાનું શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા સાપડી હતી. જોકે આગના કારણે કોઈ દાઝ્યું કે પછી કોઈ જાન હાનિ થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. પરંતુ આગથી સામાન બળી જતા વેપારીને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:02 pm

વલસાડ સાયબર સેલે રૂ. 3.08 કરોડનું કૌભાંડ ઝડપ્યું:મ્યુલ એકાઉન્ટના કેસમાં બે આરોપીઓની ધરપકડ

વલસાડ સાયબર ક્રાઇમે રાજ્ય સરકારના 'ઓપરેશન હન્ટ' અંતર્ગત મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. 3,08,41,362 ના વ્યવહારો સામે આવ્યા છે, જે સાયબર ફ્રોડના મોટા નેટવર્ક તરફ ઇશારો કરે છે. તાજેતરમાં 4 ફેબ્રુઆરીના રોજ, વલસાડ સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે અયુબ કાદિરભાઈ શેખ નામના શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અયુબ કમિશનની લાલચે પોતાના અને તેની પત્નીના નામે વિવિધ બેંકોમાં 15 જેટલા એકાઉન્ટ્સ ખોલાવીને તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કરતો હતો. અયુબની ઉલટતપાસમાં મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા નામના અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને શખ્સો પણ કમિશન મેળવીને અન્ય વ્યક્તિઓના નામે મ્યુલ એકાઉન્ટ્સ ચલાવતા હતા. તેમના અત્યાર સુધીમાં વિવિધ બેંકોમાં 40 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. હાલ આ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફે મીલો સુરેશભાઈ વાઘેલા છે. પ્રાથમિક માહિતી મુજબ, મિલન હાલ ભારત બહાર વિદેશમાં હોવાનું મનાય છે. પોલીસ તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે. મ્યુલ એકાઉન્ટ એટલે એવા બેંક ખાતા જેનો ઉપયોગ સાયબર ઠગ્સ ફ્રોડ દ્વારા મેળવેલા પૈસા જમા કરાવવા માટે કરે છે. આવા ખાતાધારકો માત્ર કમિશન માટે પોતાના એકાઉન્ટની વિગતો કે એક્સેસ ઠગોને આપી દેતા હોય છે. વલસાડ પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં વધુ એકાઉન્ટ્સ તેમજ આ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય મોટા માથાઓ સામે આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 pm

સુરત પોલીસ કમિશનર કચેરીમાં સંકલન બેઠક:ઉધના અને સુરત પૂર્વમાં અશાંતધારા અને APMC માર્કેટ બહાર ટ્રાફિકના મુદ્દે ધારાસભ્યો આક્રમક

સુરત શહેરની કાયદો અને વ્યવસ્થા તેમજ માળખાગત સુવિધાઓની સમીક્ષા કરવા માટે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોના ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ઉધના અને સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં અશાંતધારાના કડક અમલીકરણ અને શહેરના ટ્રાફિકની જટિલ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અશાંતધારા અંગે ધારાસભ્ય અરવિંદ રાણાની રજૂઆતસુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ બેઠકમાં અશાંત ધારાના મુદ્દે પોલીસ અને પ્રશાસન સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે, અગાઉ જે મિલકતોના વેચાણ માટે 'મસ્જિદ' હોવાનું જણાવી ઓર્ડર પાસ કરવામાં આવ્યા હતા, ત્યાં વાસ્તવિક તપાસ કરતા કોઈ મસ્જિદ મળી આવી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ખોટા દસ્તાવેજોના આધારે અશાંત ધારા હેઠળ પરવાનગી મેળવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે સ્થળ તપાસ કરી જો અનિયમિતતા જણાશે તો ઓર્ડર રદ કરવાની ખાતરી આપી છે. અંબર કોલોની અને શાંતિકુંજમાં વસ્તી માળખામાં ફેરફારનો મુદ્દોધારાસભ્ય મનુ પટેલે પણ અશાંત ધારા અંગે ગંભીર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અંબર કોલોની અને શાંતિકુંજ સહિતની 4 સોસાયટીઓમાં વસ્તીનું માળખું ઝડપથી બદલાઈ રહ્યું છે. આ વિસ્તારોમાં વિધર્મીઓની વધતી જતી સંખ્યાને કારણે સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ છે. કલેક્ટર અને પોલીસ કમિશનરે આ રજૂઆતને ગંભીરતાથી લઈ યોગ્ય તપાસ અને નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. APMC માર્કેટ બહાર ટ્રાફિકની સમસ્યાધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરતની જીવાદોરી સમાન APMC માર્કેટની બહાર થતા ટ્રાફિક જામનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, માર્કેટની બહાર વાહનોની લાંબી કતારોને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમણે માર્કેટ બહાર કાયમી ટ્રાફિક પોઈન્ટ બનાવવાની માંગ કરી હતી. આ સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, માર્કેટની બહારની ટ્રાફિક વ્યવસ્થા માટે તેમની કોઈ સીધી જવાબદારી બનતી નથી છતાં લોકહિતમાં તેમણે આ રજૂઆત કરી છે. કૈલાસ ચોકડી પાસે ટ્રાફિક અને નવા બ્રિજની કામગીરીઆ બેઠકમાં ઉધનાના ધારાસભ્ય મનું પટેલ દ્વારા કૈલાસ ચોકડી પાસે થતા ટ્રાફિક જામ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં આગામી સમયમાં અંદાજે 72 કરોડના ખર્ચે નવા બ્રિજની કામગીરી શરૂ થવા જઈ રહી છે. ધારાસભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી કે બ્રિજનું કામ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની શકે છે. આ માટે પોલીસે આગોતરું આયોજન કરી વૈકલ્પિક રૂટ અને પૂરતા ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરની ખાતરી અને આગામી પગલાંતમામ ધારાસભ્યોની રજૂઆતો સાંભળ્યા બાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, અશાંતધારાના ભંગ બદલ કોઈપણ કસૂરવારને છોડવામાં આવશે નહીં અને વસ્તી ગણતરી તથા સ્થળ તપાસની પ્રક્રિયા વધુ વેગીલી બનાવવામાં આવશે. ટ્રાફિકના પ્રશ્નો માટે મહાનગરપાલિકા સાથે સંકલન સાધીને નવા બ્રિજની કામગીરી દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવું પ્લાનિંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:58 pm

ચારુસેટમાં CognizanceX'26 ટેક ફેસ્ટનો પ્રારંભ:બલૂન ઉડાવી સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે ખુલ્લો મૂક્યો

ચારુસેટ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ (FTE) દ્વારા આયોજિત વાર્ષિક ટેકનિકલ ફેસ્ટ ‘CognizanceX'26’નું ગુરુવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં સવારે 10 વાગ્યે યોજાયેલા આ સમારોહમાં સોજીત્રાના ધારાસભ્ય અને CHRFના પ્રમુખ વિપુલ પટેલની ઉપસ્થિતિમાં આકાશમાં બલૂન ઉડાવી ટેક-ફેસ્ટને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નોલેજ અને ઇનોવેશનના પ્રતીક સમાન વિશેષ સોવેનિયર ‘અધ્યાય’નું લોન્ચિંગ કરાયું હતું. ત્યારબાદ ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે CognizanceX'26 ના ઔપચારિક પ્રારંભની જાહેરાત કરી હતી. આ પ્રસંગે રજિસ્ટ્રાર ડૉ. બીનિત પટેલ, FTEના ડીન ડૉ. વિજય ચૌધરી સહિત વિવિધ વિભાગોના વડાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. બંકિમ પટેલ, ડૉ. તૃષિત ઉપાધ્યાય, ડૉ. અમિત ઠક્કર, ડૉ. નિકિતા ભટ્ટ, ડૉ. પૂર્વી પ્રજાપતિ, ડૉ. વિજય પંચાલ, ડૉ. નિલય પટેલ, ડૉ. નિરવ ભટ્ટ, ડૉ. દ્વિપના ગર્ગ, ડૉ. ચિરાગ પટેલ અને ડૉ. અમિત નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટમાં વિવિધ ટેકનિકલ સ્પર્ધાઓ, વર્કશોપ્સ અને પ્રોજેક્ટ પ્રદર્શનો યોજાશે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમની સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સર્જનાત્મકતા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉત્સવમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જે પ્રાયોગિક શિક્ષણ અને સહયોગની ભાવનાને વેગ આપશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:58 pm

સાવરકુંડલામાં ₹1.05 કરોડના જળસંચય પ્રોજેક્ટને મંજૂરી:ચેકડેમ, નદી ઊંડી ઉતારવા અને પૂર સંરક્ષણ દીવાલના કામો થશે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં જળસંચય અને પૂર સંરક્ષણ માટે ₹1.05 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સમાં ચેકડેમ નિર્માણ, નદીઓને ઊંડી ઉતારવી અને પૂર સંરક્ષણ દીવાલોના કામોનો સમાવેશ થાય છે. ધારાસભ્ય મહેશ કસવાલાના પ્રયાસોથી આ મંજૂરી પ્રાપ્ત થઈ છે. મંજૂર થયેલા કામોમાં બાઢડા નદીને ઊંડી ઉતારવા માટે ₹37.92 લાખ, શેલણા નદી પર નવો ચેકડેમ બનાવવા માટે ₹28.07 લાખ, ઘાંડલામાં પૂર સંરક્ષણ દીવાલ માટે ₹22.78 લાખ અને મેરીયાણામાં પૂર સંરક્ષણ દીવાલ માટે ₹17.12 લાખનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી તાલુકામાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેનાથી ખેતી અને પશુપાલનને સીધો લાભ મળશે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન નદીઓમાં આવતા પૂરનું જોખમ ઘટશે અને ખેતરો તેમજ રહેણાંક વિસ્તારોને નુકસાન થતું અટકશે. નદીઓના પુનર્જીવનથી સ્થાનિક પર્યાવરણમાં પણ સુધારો થશે. ધારાસભ્ય મહેશ કસવાલાએ આ વિકાસકાર્યોને સાવરકુંડલા તાલુકા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળસિંચન મંત્રી ઈશ્વરભાઈ પટેલનો તાલુકાની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:50 pm

મોરબીમાં બેટરીના પાણીની આડમાં દારૂ ઝડપાયો:1248 બોટલ સાથે એક પકડાયો, રાજકોટના શખસની શોધખોળ

મોરબી પોલીસે બેટરીના પાણીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા લાવવામાં આવેલો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની કુલ 1248 બોટલ દારૂ, એક રિક્ષા સહિત ₹4,57,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજકોટના એક શખ્સની શોધખોળ ચાલી રહી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, જેમાં જયદીપ દેવસુર, કિશોર મિયાત્રા અને પૃથ્વીરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે, પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે વરણીરાજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેટરીના પાણીના પેકિંગની આડમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લાતી પ્લોટ શેરી નંબર 6 ના નાકા પાસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પાર્સલ લોડિંગ માટે ઊભેલી GJ 3 BX 5810 નંબરની રિક્ષા મળી આવી હતી. રિક્ષાચાલક તોફિકભાઈ મહેબૂબભાઈ બુખારી (ઉં.વ. 26, રહે. શક્તિ ચોક, ખાટકીવાસ, મોરબી) ને પોલીસે પૂછપરછ કરી હતી. તેણે રિક્ષામાં રહેલા બોક્સમાં બેટરીનું પાણી હોવાનું જણાવ્યું હતું અને રાધે એન્ટરપ્રાઇઝ, વાપી જીઆઈડીસીનું બનાવટી બિલ રજૂ કર્યું હતું. પોલીસે રિક્ષામાં રહેલા બોક્સની તપાસ કરતા તેમાંથી 18 બોટલ બેટરીનું પાણી અને જુદી જુદી બ્રાન્ડની કુલ 1248 નાની બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹4,05,600 ની કિંમતનો દારૂ, ₹1,800 ની કિંમતનું બેટરીનું પાણી અને CNG રિક્ષા સહિત કુલ ₹4,57,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી તોફિકભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટના સાહિલ હનીફભાઈ પરમારે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને તે તેને ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, સાહિલ પરમારને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:42 pm

સુરતમાં વ્યાજખોરનો કહેર:ઝીંગા વેપારીની પત્નીને ચપ્પુની અણીએ બાનમાં લઈ 35 લાખની પઠાણી ઉઘરાણી કરી, રાંદેર પોલીસે ધરપકડ કરી

સુરત શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા એક ઝીંગા વેપારી પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા-કરતા ચપ્પુ બતાવી વેપારીની પત્નીને બાનમાં લેનારની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. કોરોનાકાળમાં 5 ટકા વ્યાજે આરોપી પાસેથી પૈસા લીધા હતાપાલનપુર પાટિયાની દીનદયાળ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ઝીંગા વેપારી સુશીલ દીનેશ પટેલ આ કેસમાં ભોગ બનનાર છે. વર્ષ 2020માં કોરોનાકાળ દરમિયાન ધંધામાં મોટું નુકસાન જતાં તેમણે આર્થિક મદદ માટે અડાજણના ફાયનાન્સર આનંદ બાલુભાઇ ચાંસીયા (આરોપી) નો સંપર્ક કર્યો હતો. આનંદે 5% માસિક વ્યાજે રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું અને શરત મુજબ સુશીલભાઈએ તેમના વતન ઓલપાડના મંદ્રોઈ ગામની જમીનના કાગળો અને મકાનની કબજા રસીદ સિક્યુરીટી પેટે જમા કરાવ્યા હતા. આ શરતે તેમણે ટુકડે-ટુકડે કુલ રૂ. 51 લાખ વ્યાજે લીધા હતા. પત્નીના દાગીના વેચીને 85 લાખથી વધુની રકમ ચૂકવી હતી2 વર્ષના નિર્ધારિત સમયમાં રૂપિયા પરત ન થતા આરોપી આનંદે અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. તે અવારનવાર વેપારીના ઘરે જઈ ગાળાગાળી અને ઉઘરાણી કરતો હતો. સુશીલભાઈએ મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના લઈને તેમજ પત્નીના દાગીના વેચીને અત્યાર સુધીમાં કુલ 85 લાખ ચુકવી દીધા હતા તેમછતાં આરોપીની લાલચ સંતોષાઈ નહોતી. તેણે ધાકધમકી આપી વર્ષ 2023માં મંદ્રોઈ ગામની જમીનનો દસ્તાવેજ પોતાના નામે પણ કરાવી લીધો હતો. ત્યારબાદ વર્ષ 2024 સુધીમાં વધુ પૈસા ચૂકવ્યા હતા, જેમાં વતનની જમીન સસ્તા ભાવે વેચીને. 45 લાખ રોકડા અને 10 લાખ આનંદની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પત્નીને ચપ્પુ બતાવી બાનમાં લીધીહદ તો ત્યારે થઈ જ્યારે વેપારીએ મુદ્દલ કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીએ તેના વેપારીને જમીનના કાગળો પરત આપ્યા ન હતા. આરોપી આનંદ સુશીલભાઈના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેમની પત્નીને ચપ્પુ બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે 5 વર્ષના બાકી વ્યાજના નામે વધુ 35 લાખની માંગણી કરી આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ વેપારીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખંડણીખોર આરોપી આનંદ ચાંસીયાની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:41 pm