SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

Editor’s View : જિનપિંગ સામે બળવાનો કારસો:ચીનના રાષ્ટ્રપતિને પાડી દેવા CIAનું ષડયંત્ર ઉઘાડું પડ્યું, આર્મીના ટોપ-4 અધિકારી અને સંરક્ષણમંત્રી ગાયબ

માનવામાં જ ન આવે તેવા સમાચારે વિશ્વની રાજકીય ધરીને સ્થિર કરી દીધી છે. વાત એમ છે કે દુનિયાની સૌથી શક્તિશાળી સેના ચીનની છે. તેની જ ટોપ લીડરશિપને અમેરિકાએ ફોડી નાખી. ચીનની હથિયારોની ખરીદી, ન્યુક્લિયર પ્રોજેક્ટ જેવી ગુપ્ત માહિતીને અમેરિકાએ મેળવી લીધી. ઈન્ટલિજન્સીમાં અવ્વલ ચીન અંધારામાં રહ્યું ને અમેરિકા કળા કરી ગયું. અમેરિકાના જ અખબારે ધડાકો કર્યો છે કે ચીનમાં આર્મી અધિકારીઓને ફોડીને બળવો કરાવવાનું કાવતરું CIAએ લાંબા સમયથી ઘડે છે. આ વાતની ખબર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પડી ગઈ. આર્મીના ટોપ સાતમાંથી પાંચ લીડરની હકાલપટ્ટી કરી. આ પાંચમાં ચીનના રક્ષા મંત્રી પણ છે. ચીન માટે અને ખાસ તો દુનિયા માટે સૌથી મોટી વાત એ છે કે જિનપિંગે ચીનના નંબર ટુ અને સેનાના ટોચના ઓફિસર જનરલ ઝાંગ યુક્શિયાને પદ પરથી હટાવ્યા. બાય ધ વે, કોઈપણ મોટી વ્યક્તિને પદ પરથી હટાવવા તેના માટે અંગ્રેજીમાં એક શબ્દ છે- 'પર્જ'. આ ચીનમાં સૌથી વધારે વપરાતો શબ્દ છે. પર્જનો અર્થ એવો થાય કે અક્ષમ અને ભ્રષ્ટ અધિકારીઓની હકાલપટ્ટી કરીને જે-તે પદનું શુદ્ધિકરણ કરવું. દુનિયામાં એકલા ચીનમાં નહિ, ઘણી જગ્યાએ, ઘણી વખત પર્જ થયું છે. નમસ્કાર, પાકિસ્તાની સેનાના સર્વેસર્વા અસીમ મુનીર અમેરિકાના ખોળે બેસી ગયા છે. હવે તો ચીનની સેનાના સર્વેસર્વા પણ અમેરિકાના ખોળે બેસી ગયા, તે વિશ્વ માટે ખતરારૂપ બાબત છે. ચીનની સેનાના ટોચના અધિકારી જનરલ ઝાંગ યુક્શિયા અને શી જિનપિંગના પિતા મિત્રો હતા. આ બંને પણ 50 વર્ષથી એકબીજાના લંગોટિયા યાર હતા પણ મિત્રએ જ જિનપિંગ સાથે વિશ્વાસઘાત કર્યો. જિનપિંગને એ વાતનો આઘાત નહિ લાગે કે અમેરિકા પાસે સિક્રેટ વાત પહોંચી ગઈ, પણ એ વાતનો ચોક્કસ આઘાત લાગશે કે આવી કાળી કરતૂત કરનારો તેનો જ વિશ્વાસુ મોટા ભાઈ સમાન મિત્ર જ નીકળ્યો. વાત માત્ર માહિતી લિક કરવાની નથી. આખો ગેમ પ્લાન ચીનમાં તખ્તાપલટનો હતો. આ તખ્તાપલટનો પ્લાન અમેરિકી ગુપ્તચર એજન્સી CIA (સેન્ટ્રલ ઈન્ટવેસ્ટિગેશન એજન્સી)એ બનાવ્યો હતો. આ વાત અમેરિકાના જ અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાઈ છેપહેલા ચીની આર્મીનું માળખું જાણો જુઓ, ભારતમાં પાર્ટી મહત્વની નથી પણ સરકાર મહત્વની છે. ચીનમાં ઊલટું છે. ત્યાં સરકાર મહત્વની નથી, પાર્ટીનું કદ મોટું રહે છે. શી જિનપિંગ જે પાર્ટીના નેતા છે, તે પાર્ટીનું નામ છે- કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના. આ પાર્ટીના કદાવર નેતાઓ જ ચીનને ચલાવે છે. ચીનની આર્મી પણ પાર્ટી કહે તેમ કરે છે. આ પાર્ટીના ટોચના નેતાઓએ સાથે મળીને અલગ અલગ વિભાગ ચલાવે છે. તેમાં સાત નેતાઓ મળીને આર્મીનું ઓપરેશન ચલાવે છે. આ સાત વ્યક્તિની કમિટિ છે. જેને CMC એટલે સેન્ટ્રલ મિલિટરી કમિશન કહે છે. તેના ચેરમેન ખુદ શી જિનપિંગ છે. તેની નીચે બે વાઈસ ચેરમેન છે. તેમાંના એક વાઈસ ચેરમેન હતા યુક્શિયા. વાઈસ ચેરમેન હોવા ઉપરાંત આર્મીનું સંચાલન તેમના હાથમાં જ રહેતું. આર્મીના ટોપ સિક્રેટ, ન્યુક્લિયર પ્રોજેક્ટની માહિતી, હથિયારોની ખરીદી, મિલિટરીમાં અધિકારીઓની નિમણૂક આ બધું જ યુક્શિયાના શિરે હતું. તેની નીચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને બીજા અધિકારીઓ આવે. ટૂંકમાં, ચીનની લાખો સૈનિકો ધરાવતી આર્મીનું સંચાલન ઝાંગ યુક્શિયાના હાથમાં હતું. ઝાંગ યુક્શિયા સામે ક્યા આરોપો મૂકાયા, ક્યારે મૂકાયા? સવાલ એ છે કે જિનપિંગના ખાસ દોસ્ત પર પરમાણું માહિતી લીક કરવાનો આરોપ કેવી રીતે લાગ્યો? 24 જાન્યુઆરીએ મોટા કોન્ફરન્સ રૂમમાં ચીની સેનાના મોટા ટોપ રેન્કના અધિકારીઓની હાઈલેવલ મિટિંગ થઈ. તેમાં પહેલીવાર આ આરોપ લગાવાયો. તેના થોડા કલાકો પછી ચીનના રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું. જેમાં જનરલ યુક્શિયા પર રાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાનો અને પાર્ટી અનુશાસન તોડવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ પહેલાં 19 જાન્યુઆરીએ શી જિનપિંગે નેશનલ ન્યુક્લિયર કોર્પોરેશનના જનરલ મેનેજર ગૂઉ જૂન વિરુદ્ધ તપાસ શરૂ કરાવી હતી. ગૂઉ જૂન સામેની તપાસમાં કેટલાક તથ્યો એવા સામે આવ્યા જેમાં ન્યુક્લિયર જાણકારી લીક કરવા પાછળ જનરલ યુક્શિયાનો હાથ હોવાના પુરાવા મળ્યા. આ જનરલ પર અમેરિકાને ન્યુક્લિયર માહિતી આપવા સિવાયના ત્રણ અન્ય આરોપો લગાવાયા છે. જિનપિંગ અને યુક્શિયા નાનપણના મિત્રો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેના નંબર ટુ ગણાતા ઝાંગ યુક્શિયાના પારિવારિક સંબંધો છે. બંને નાનપણના મિત્રો છે. ચીનના એક જ ગામડાંના વતની છે. બંનેના પિતા પણ મિત્રો હતા. જિનપિંગ અને ઝાંગના પિતાઓએ માઓ ડાંગના 1949માં ચીનના ગૃહયુદ્ધમાં ભાગ લીધો હતો. એ પછી માઓની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ચીનની સત્તા હાથમાં લીધી હતી. એ ગૃહયુદ્ધમાં જેના પિતાઓએ ભાગ લીધો હતો તેના સંતાનોને 'પ્રિન્સલિંગ્સ' એટલે રાજકુમાર કહેવાતા. એ નાતે જિનપિંગ અને યુક્શિયા બંને પ્રિન્સલિંગ્સ છે અને બંને સારા મિત્રો છે. જાણે જય વીરુની જોડી જ જોઈ લો! જિનપિંગ અને યુક્શિયાએ એકબીજાની મિત્રતા નિભાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. 2012થી ઝાંગ યુક્શિયા ચીનના CMCના વાઈસ ચેરમેનપદે છે. સતત 15 વર્ષથી કોઈ વ્યક્તિ આ પદ પર હોય એવું ચીનમાં બન્યું નથી. 70 વર્ષની ઉંમરે યુક્શિયા નિવૃત્ત થયા તે પછી પણ જિનપિંગે મિત્રતા નિભાવીને તેમને એક્સટેન્શન આપ્યું. જિનપિંગને ત્રીજીવાર રાષ્ટ્રપતિ બનાવવામાં ઝાંગનો મોટો ફાળો છે. પણ એકાએક CIAએ એવા તે ક્યા ચોકઠાં ગોઠવ્યાં કે બે મિત્રો વચ્ચે તિરાડ પાડવાનું શરૂ કર્યું ને વાત તખ્તાપલટ સુધી પહોંચી ગઈ. જિનપિંગ ગાંજ્યા જાય તેમ નથી. તેની સામે બળવો થવાની ગંધ આવી ગઈ ને તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો. વોલ સ્ટ્રીટ જર્નલે ભાંડો ફોડ્યો, ચીનનું મૌન ચીની મિલિટરીના ધૂરંધરોને કેમ હટાવાયા તેનું કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. દરેક અખબારના અલગ અલગ રિપોર્ટ છે. પણ અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ ચર્ચામાં છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં જેણે લખ્યું છે તે લિંગલિંગ વેઈ અને ચૂન હાન વોંગ બંને વોલ સ્ટ્રીટ જર્નલના ચીન ખાતેના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ છે. તેમણે લખ્યું છે એટલે વાતમાં કાંઈક તો દમ હશે જ. સૌથી ખતરનાક વાત એ છે કે ટોપ મિલિટરી ઓફિસર અને જિનપિંગના વિશ્વાસુઓએ જ વાત લીક કરી દીધી. આ આખી ગેમ પાછળ અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA (સેન્ટ્રલ ઈન્ટલિજન્સ એજન્સી)ની મહત્વની ભૂમિકા હોવાનું મનાય છે. CIA એટલે અમેરિકા જ ચીનમાં તખ્તાપલટ કરાવવા લાંબા સમયથી ઓપરેશન ચલાવતું હતું તેવો ઘટસ્ફોટ થયો છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. જોકે અમેરિકાના જ અખબાર વોશિંગ્ટન પોસ્ટે એક લાઈનમાં લખ્યું છે કે - શી જિનપિંગ એ દરેકને હટાવવા લાગ્યા છે જે પોતાની ખુરશી માટે જોખમ સાબિત થવાના હોય. ચીનનું અખબાર પીએલએ ડેઈલી આને સેનાનું સફાઈ અભિયાન ગણાવે છે. 2023થી અત્યાર સુધીમાં ચીનમાં 50થી વધારે સૈન્ય અધિકારી હટાવાયા છે. ચીનમાં અને બીજા દેશોમાં 'પર્જ' નવી વાત નથી જે અક્ષમ હોય અને ભ્રષ્ટ હોય તેવા વ્યક્તિને ઉચ્ચ હોદ્દા પરથી હટાવી દેવા તેને 'પર્જ' કર્યું કહેવાય છે. તો એ રીતે ચીનમાં પર્જ કરવું એ નવી વાત નથી. કારણ કે 2023થી અત્યાર સુધીમાં આર્મીમાંથી જ 50 અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. અગાઉના કેટલાક પર્જના કિસ્સા જોઈએ... 'પર્જ' પછી ગાયબ છે ચીનના સૈન્ય અધિકારીઓ CMC (સેન્ટ્રલ મિલિટરી કમિશન)ના 7 સભ્યોમાંથી 5ની હકાલપટ્ટી કરાયા બાદ ચીનમાં ક્યાંય જોવા મળતા નથી. તેમને પૂછપરછ માટે કોઈ ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યા હોય એવું બને. ચીની મીડિયામાં એવી ચર્ચા છે કે તમામને ચીનથી દૂર આઉટ સ્કર્ટ વિસ્તારમાં એક હોટેલમાં રખાયા છે અને તમામના ફોન બંધ કરાવી દેવાયા છે. આ પાંચમાંથી એક રક્ષા મંત્રી છે અને બીજા ચાર આર્મી અધિકારીઓ છે. આ પાંચેય ક્યાં છે, તે કોઈ જાણતું નથી. કારણ કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્ત જગ્યાએ જ રખાશે નહિતર અમેરિકા તેને ગમે ત્યારે ખતમ કરી શકે છે. યુદ્ધનો અનુભવ ધરાવે છે જિનપિંગના મિત્ર યુક્શિયા બેઈજિંગ પાસેના ગામમાં જન્મેલા યુક્શિયા 1968માં સેનામાં સામેલ થયા. 2012માં મિલિટરી કમિશનમાં સામેલ થયા. એ વર્ષોમાં ચીની સેનામાં આધુનિકરણનો દોર હતો. ચીનમાં મિલિટરીના ટોપ કમાન્ડર રાષ્ટ્રપતિ શી જિનપિંગ હોય છે. તેના પછી નંબર ટુની પોઝિશન પર જનરલ ઝાંગ યુક્શિયા હતા. મિલિટરી કમિશનમાં સામેલ થતાંની સાથે જ તેમને જનરલનું સર્વોચ્ચ પદ મળી ગયું. યુક્શિયા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સદસ્ય બન્યા. ઝાંગ યુક્શિયા પાસે યુદ્ધમાં લડવાનો બહોળો અનુભવ છે. 1984 અને 1989માં વિયેતનામ સામેના યુદ્ધમાં યુક્શિયા યુદ્ધના મેદાનમાં લડવા ગયા હતા. છેલ્લે 20 નવેમ્બર 2025એ મોસ્કોમાં રશિયાના રક્ષામંત્રી સાથે મિટિંગ કરતા જોવા મળ્યા હતા. રશિયા સાથેની મિટિંગ પહેલાં જ જિનપિંગે સેનાના સર્વોચ્ચ અધિકારી હે વેડાંગ અને અન્ય આઠ અધિકારીઓની હકાલપટ્ટી કરી હતી. ઝાંગ યુક્શિયાને હટાવાયા એ વાત તો સાચી છે પણ સાચું કારણ સામે આવતું નથી. ભારતના ચાર પાડોશી દેશમાં સેનાની સ્થિતિ જિનપિંગે પહેલીવાર સૈન્ય તાકાત બતાવી ને રાતોરાત હકાલપટ્ટી શરૂ કરી સપ્ટેમ્બર 2025માં ચીને પોતાના ઈતિહાસમાં પહેલીવાર સૌથી મોટી પરેડનું આયોજન કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં ચીને જાપાનને હરાવ્યું હતું. તેના 80 વર્ષ પૂરાં થતાં આ પરેડ થઈ હતી. આ પરેડમાં દુનિયાના 26 દેશોના રાષ્ટ્ર પ્રમુખોને બોલાવાયા હતા. જેમાં પુતિન પણ હતા અને ઉત્તર કોરિયાના કીમ જોંગ પણ હતા. પાંચ મહિના પહેલાં શી જિનપિંગ પોતાની સેનાની તાકાતનું પ્રદર્શન કરતા હતા અને અચાનક સેનાના ટોપના કમાન્ડરોની હકાલપટ્ટી થવા લાગી. છેલ્લે, ચીનની વિક્ટ્રી ડે પરેડ દરમિયાન હોટ માઇક પર રેકોર્ડ થયેલી જિનપિંગ અને પુતિનની 'ગુપ્ત' વાતચીતને આખી દુનિયાએ સાંભળી. આ બંને નેતાઓ વાત કરી રહ્યા હતા કે માણસ 150 વર્ષ સુધી જીવી શકે છે... અંગો વારંવાર બદલી શકાય છે... જેટલું વધુ જીવો, એટલું યુવાન રહો... કદાચ માણસ અમર પણ થઈ શકે. આનો મતલબ એવો થયો કે જિનપિંગ અને પુતિન લાંબુ આયુષ્ય વધારવાના ગુપ્ત પ્રયોગ કરી રહ્યા હોય, એવું બની શકે. કારણ કે બંનેએ પોતાના દેશોમાં રાષ્ટ્રપતિની અવધિ અમર્યાદ કરતો નિયમ બનાવી દીધો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:55 pm

પાટણ પોલીસે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો:198 બોટલ રક્ત એકત્ર કરાયું, ધારપુર બ્લડ બેન્કને અર્પણ

પાટણ જિલ્લા પોલીસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 198 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે ધારપુર બ્લડ બેન્કને અર્પણ કરાયું છે. આ રક્તદાન શિબિરમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારના સભ્યો, હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યોએ પણ આ માનવતાવાદી કાર્યમાં યોગદાન આપ્યું હતું. કેમ્પ દરમિયાન પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, નાયબ પોલીસ અધિક્ષક (સિદ્ધપુર), એસ.સી./એસ.ટી. સેલના અધિકારીઓ અને મુખ્ય મથકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારપુર કોલેજના ડો. પારૂલ શર્મા તેમજ સામાજિક આગેવાનો બેબાભાઈ શેઠ અને બાબુભાઈ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા. એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ધારપુર બ્લડ બેન્કને સુપ્રત કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:48 pm

145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીની જિલ્લાફેર બદલી:કોને ક્યાં મૂકાયા?, જુઓ સંપૂર્ણ લિસ્ટ

વિવિધ જિલ્લાઓમાં નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની સ્વવિનંતીથી જિલ્લા ફેર બદલીના આદેશ કરાયા છે. વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીના જિલ્લાફેર બદલીના આદેશ કરવામાં આવ્યા છે. બદલી કરાયેલા નાયબ મામલતદારના નામની યાદી બદલી કરાયેલા રેવન્યૂ તલાટી મંત્રીઓના નામની યાદી

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:45 pm

અમરેલીમાં કોંગ્રેસના 17 નવા પ્રમુખોની વરણી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરાયું

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો પર નવા પ્રમુખોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓમાં પક્ષની પકડ મજબૂત કરવાનો છે. નવી વરણીથી જિલ્લા સ્તરે કોંગ્રેસનું સંગઠન વધુ સુદ્રઢ બનશે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આ હોદ્દેદારોને આવકારી સન્માનિત કર્યા હતા. સાવરકુંડલા શહેરમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા નિમાયેલા પ્રમુખોનું ફૂલહારથી સ્વાગત કરી સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારંભ દરમિયાન કોંગ્રેસ સંગઠનની એકતા અને મજબૂતીનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં કોઈ જૂથવાદ કે નારાજગી ન હોવાનો સંકેત અપાયો હતો. આગેવાનોએ આશા વ્યક્ત કરી કે આ નિમણૂકોથી કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફાયદો થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ સાવલિયા, બગસરા તાલુકા પ્રમુખ અશોકભાઈ ગોંડલીયા, ખાંભા તાલુકા પ્રમુખ રમેશકુમાર કળસરિયા, અમરેલી તાલુકા પ્રમુખ વિપુલભાઈ પોંકીયા, કુંકાવાવ તાલુકા પ્રમુખ સત્યમભાઈ મકાણી, બાબરા તાલુકા પ્રમુખ ધીરુભાઈ વહાણી, લાઠી તાલુકા પ્રમુખ કાળુભાઇ શેખડા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ નરેશભાઈ દેવાણી, લીલીયા તાલુકા પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદી, રાજુલા તાલુકા પ્રમુખ ગાંગાભાઈ હડીયા, જાફરાબાદ તાલુકા પ્રમુખ અનકભાઈ સાંખટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ધારી શહેર કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણી, બગસરા શહેર પ્રમુખ અનિલભાઈ શેખ, અમરેલી શહેર પ્રમુખ સંદીપભાઈ ધાનાણી, બાબરા શહેર પ્રમુખ ચિતરંજનભાઈ છાંટબાર, લાઠી શહેર પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ સૂચક, રાજુલા શહેર પ્રમુખ રવિભાઈ ધાખડા અને જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ બાંભણીયા સહિતનાઓની નિમણૂક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:41 pm

પ્રેમલગ્નના ખાર રાખી યુવાનનું અપહરણ:યુવતીના પિતા સહિત 8 શખ્સોએ માર માર્યો

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્નના ખાર રાખી એક યુવાનનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. આઠ શખ્સોએ યુવાનને સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરી ઓફિસે લઈ જઈ ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામના કિશોરભાઈ દેવદાનભાઈ લોખિલ (ઉં.વ. 37)એ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે કમલેશભાઈ વિરડા (રહે. સોનગઢ), રમેશભાઈ હમીરભાઈ બરારીયા, વિનોદભાઈ રાણાભાઇ બરારીયા, મુળુભાઈ બીજલભાઇ બરારીયા, હિતેશભાઈ મૂળુભાઈ બરારીયા, ભવાનભાઈ બીજલભાઇ બરારીયા (તમામ રહે. મોટા દહીસરા) અને હિતેશભાઈ બરારીયાના બે સાળાઓ સામે અપહરણનો ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, કિશોરભાઈ સરવડ ગામ પાસે આવેલા તેમના પાણીના કારખાને હાજર હતા ત્યારે તમામ આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં આવ્યા હતા. તેઓએ કિશોરભાઈનું અપહરણ કરી મોટા દહીસરા ગામે આવેલી વિશાલ રોડવેઝની ઓફિસે લઈ ગયા હતા. ઓફિસમાં આરોપીઓએ કિશોરભાઈને ગાળો આપી હતી. વિનોદભાઈએ તેમને ધોકા વડે જમણા હાથની કોણી પાસે માર માર્યો હતો, જ્યારે હિતેશભાઈના સાળાએ પાંસળી અને વાંસાના ભાગે ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઘટના પાછળનું કારણ કિશોરભાઈના કૌટુંબિક ભાઈએ આરોપી હિતેશભાઈ બરારીયાની દીકરી સાથે કરેલા પ્રેમલગ્નનો ખાર હોવાનું જણાવાયું છે. માર માર્યા બાદ ઈજાગ્રસ્ત કિશોરભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. તેમની ફરિયાદના આધારે માળીયા મીયાણા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:39 pm

‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો...’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ

UGC Controversy : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ‘ઈક્વિટી રૂલ્સ 2026’ને લઈને સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. એક તરફ અયોધ્યાના સંત સમાજે આને કાળો કાયદો ગણાવીને ઉગ્ર ચેતવણી આપી છે, તો બીજી તરફ રાજકીય મોરચે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં સમાનતા લાવવાના નામે ભેદભાવ વધારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દિલ્હીમાં યુજીસી કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે. .

ગુજરાત સમાચાર 27 Jan 2026 7:37 pm

પાલનપુર કોર્ટ સંકુલમાં રક્તદાન કેમ્પ યોજાયો:બાર એસોસિએશન અને ટ્રાફિક પોલીસે સંયુક્ત આયોજન કર્યું

પાલનપુર કોર્ટ સંકુલ ખાતે પાલનપુર બાર એસોસિએશન અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વકીલો, પોલીસ કર્મચારીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો. તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર એસોસિએશનના હોદ્દેદારો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓએ રક્તદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રક્તદાન એ માનવસેવાની ઉત્તમ રીત છે અને એક રક્તદાનથી અનેક જીવ બચાવી શકાય છે. કેમ્પને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યો યોજવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચાલી રહેલા ટ્રાફિક મંથને લઈને પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:36 pm

આધુનિક મશીનથી મોતિયાના ટાંકા વગરનું ઓપરેશન થશે:મેડિસિટીમાં એમ. એન્ડ જે. સંસ્થાને એડવાન્સ ફેકો મશીન મળ્યું, બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું

અમદાવાદ શહેરની મેડિસિટીમાં આવેલ એમ. એન્ડ જે. વેસ્ટર્ન રિજનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થેલ્મોલોજી ખાતે સંસ્થાને એડવાન્સ ફેકોઇમલ્સિફિકેશન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ વિસ્તારના લોકસભાના સાંસદ દિનેશ મકવાણા તથા રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સાંસદના સ્થાનિક વિસ્તાર વિકાસ ફંડમાંથી આ એડવાન્સ ફેકો મશીન સંસ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આધુનિક મશીનથી મોતિયાના ટાંકા વગરના ઓપરેશન થશેઆ આધુનિક મશીનથી મોતિયાના ટાંકા વગરના ઓપરેશન શક્ય બનશે, જેનાથી દર્દીઓને ઝડપી અને સુરક્ષિત સારવાર મળી રહેશે. ઉપરાંત ઝામરના દર્દીઓ તેમજ નાના બાળકોના મોતિયાના ઓપરેશન માટે પણ આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થશે. સાંસદ અને મંત્રીએ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મશીન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે સંસ્થાના ડાયરેક્ટર ડૉ. સ્વાતિ દેવનહલ્લી પાસેથી સંસ્થાની કામગીરી અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી. સાંસદ દિનેશ મકવાણા તથા મંત્રી દર્શના વાઘેલા ઉપસ્થિત રહ્યાંસંસ્થાની સેવા અને કામગીરીથી પ્રભાવિત થઈ સાંસદ દિનેશ મકવાણાએ આગામી સમયમાં સંસ્થાને કોઈપણ પ્રકારની મશીનરી કે અન્ય સહાયની જરૂર પડશે તો તેઓ તેમના સાંસદ ફંડમાંથી તેમજ જરૂર પડે તો કેન્દ્ર સરકારમાંથી પણ ફંડ લાવી આપવાની ખાતરી આપી હતી. તે જ રીતે મંત્રી દર્શનાબેન વાઘેલાએ પણ પોતાના વિસ્તાર માટે કોઈપણ પ્રકારની સહાય માટે હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું અને જરૂર પડ્યે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:35 pm

AIMIM પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા ગોધરાની મુલાકાતે:સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી

AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ આજે ગોધરાની મુલાકાત લીધી હતી. તેમણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન, કાબલીવાલાએ આગામી રણનીતિ, સ્થાનિક પ્રશ્નો, વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠન મજબૂતીકરણ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. તેમણે સ્થાનિક સ્તરે પક્ષની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા તાજેતરમાં ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ અને તેમાં સંડોવાયેલા વ્યક્તિઓનો હતો. આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, બી ડિવિઝન ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓને જરૂરી તમામ કાયદાકીય મદદ પૂરી પાડવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. પક્ષ તરફથી વકીલોની ટીમ દ્વારા યોગ્ય રજૂઆત થાય અને કાયદાના દાયરામાં રહીને લોકોને ન્યાય મળે તે માટે સ્થાનિક નેતાઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:35 pm

જામનગરના ઉદ્યોગપતિ વિશાલ મોદી સામે વધુ એક ગુનો નોંધાયો:ભાગીદારને જમીનના વિવાદમાં ધમકાવી માર માર્યાની ફરિયાદ

જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્ર મોદી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ હવે વધુ એક ગુનો નોંધાયો છે. તેમના ભાગીદાર લેન્ડ ડેવલોપર અશોક દેવશી અકબરીએ જમીનના વિવાદમાં ધમકી આપી અને માર માર્યાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ, વિશાલ મોદીએ ભાગીદારીમાં ખરીદેલી કિંમતી જમીનોના ભાવ આસમાને પહોંચતા અશોકનો હિસ્સો આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વિશાલ મોદીએ અશોકને પોતાની મિલમાં બોલાવી રિવોલ્વરની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઢોર માર માર્યો હતો. અશોકભાઈ અકબરી (ઉંમર 47, રહે. મયૂરબાગ, પંચવટી સોસાયટી પાસે, જામનગર)એ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી વિશાલ મોદી તેમને અને તેમના ભાઈ ભરતને અલગ અલગ જગ્યાએ બોલાવી જમીનના ભાગ બાબતે તકરાર કરતા હતા. વિશાલે તેમની તથા ગ્રાહકોની મૂડી અને પ્લોટ પણ છૂટા કર્યા નથી. આ અંગે અશોકે અગાઉ પોલીસમાં અરજી કરી હતી, પરંતુ તે ફાઈલ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા, કલેક્ટરે તાત્કાલિક ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો, જેના પગલે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, વિશાલે અશોક અને તેમના ભાઈને ગાળો આપી, ટાંટિયા ભાંગી નાખવાની અને રિવોલ્વરની અણીએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ બધા ગુનાઓ દરેડ ફેઈઝ-3, મસિતિયામાં આવેલી અપના ઈમ્પેક્સ ઓફિસમાં તથા દરેડ વિસ્તારમાં આવેલી ન્યૂ એરા કન્સ્ટ્રક્શન સાઈટ પર તથા આરોપીની બેડી વિસ્તારમાં આવેલી જનક ઓઈલ મીલ ખાતે આરોપીએ આચર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમે વિશાલ મોદી સામે આઈ.પી.સી. કલમ 323, 504અને 506-2 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી છે. છેલ્લા પાંચ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન વિશાલ મોદીના ત્રાસ, ધાકધમકી અને મારકુટ વગેરેથી કંટાળીને અશોકે જામનગરના પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી, પરંતુ અગાઉ તેની અરજી ફાઈલ થઈ ગઈ હતી. આખરે સ્વાગત નિવારણ સમક્ષ પોતે ફરિયાદ કરી હતી, જેમાં જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરીમાં જે તે વખતે જિલ્લા કલેકટર કેતન ઠક્કર ખુદ હાજર રહ્યા હતા,અને સાંભળ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પોતે છેલ્લા પાંચ વર્ષથી વિશાલ મોદીની ધાકધમકી, ત્રાસ, અને મારકુટ નો ભોગ બની રહ્યા છે. પોતાને ભાગ આપવાના બદલે ગાળો આપી મારકુટ કરાય છે. તેમજ તેની સામેની પોલીસ ફરિયાદ નોંધાવાતી નથી. જે રજૂઆત સાંભળીને જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરતથી આ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો, જેના અનુસંધાને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ આ આરોપી વિશાલ મોદી વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી, જે કેસમાં આરોપીએ પોલીસને તપાસમાં સહયોગ આપવો પરંતુ આરોપીની ધરપકડ કરી શકાશે નહીં, અને સાત દિવસ પહેલાં નોટિસ પાઠવવી, એવું અગાઉ ઉપરી અદાલતે કહ્યું હતું. તે દરમિયાન હવે આ જ આરોપી વિરુદ્ધ બીજો ગુનો ખુદ તેના ભાગીદારે દાખલ કરાવ્યો છે, જેથી ભારે ચકચાર જાગી છે પોલીસે તેની અટકાયત કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:30 pm

ધોરણ-12 સાયન્સની પ્રેકટિકલ પરીક્ષા 5 ફેબ્રુઆરીથી યોજાશે:હોલ ટિકિટ 27 જાન્યુઆરીથી આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ(સાયન્સ)ની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા-2026ની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડના જાહેરનામા મુજબ પ્રાયોગિક પરીક્ષા 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે. આ પરીક્ષા માટેની હોલ ટિકિટ 27 જાન્યુઆરી, 2026થી બોર્ડની સત્તાવાર વેબસાઇટ sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરી શકાશે. હોલ ટિકિટમાં પ્રિન્સિપાલની સહી અને સિક્કા ફરજીયાતબોર્ડે સ્પષ્ટતા કરી છે કે હોલ ટિકિટ સ્કૂલ દ્વારા સ્કૂલ ઈન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ IDના આધારે ડાઉનલોડ કરવાની રહેશે. હોલ ટિકિટની પ્રિન્ટ કૉપી પર પ્રિન્સિપાલની સહી અને સિક્કા સાથે વિદ્યાર્થીઓને પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે. જો વિષય, માધ્યમ કે અન્ય વિગતોમાં કોઈ ભૂલ જણાય તો સમયમર્યાદામાં બોર્ડનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:29 pm

સાયલાની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરાશે:રવિવારે સેંજલધામ ખાતે સૌરાષ્ટ કચ્છના સંતો મહંતોની હાજરીમાં ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ થશે

સૌરાષ્ટ્ર–ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની, સમાજની અનન્ય સેવા કરતી આવી છે. જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો ના સૂત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે. વિખરાતા સમાજને રોટલા થી જોડ્યો છે... અભાવગ્રસ્તોના હામી થઈને આંસુ લૂછ્યા છે. સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્યાઓની એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પ્રતિ વર્ષની જેમ માધપૂર્ણિમાના દિવસે સેંજળ ધામ (તા.સાવરકુંડલા, જી, અમરેલી) ખાતે પૂ. મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિનમ્ર ભાવે રચાયો છે.આગામી તારીખ 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ વર્ષ 2026ના વર્ષનો અને સળંગ 16મો ધ્યાનસ્વામીબાપા એવોર્ડ 2026 સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ પૂ. લાલજી મહારાજની જગ્યા, ભગતનું ગામ સાયલાને અર્પણ કરીને વંદના કરવામાં આવશે. આ જગ્યાના મહંતશ્રી, મહામંડલેશ્વર શ્રીદુર્ગાદાસજી ગુરુશ્રી તુલસીદાસજી મહારાજ આ એવોર્ડ/વંદના સ્વીકારશે. એવોર્ડ અર્પણ સમારંભ આગામી તા.1 ને રવિવારે સવારે 9.30 કલાકે શરૂ થશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જગ્યાઓના મહંતો, સંતો ઉપસ્થિત રહી પ્રસંગની ગરિમા વધારશે.ઐતિહાસિકતાના ક્રમમાં સને 2011 ની સાલથી દર વર્ષે ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવે છે. નિમ્બરકચાર્ય શ્રી હરિવ્યાસજી મહારાજના શિષ્ય પૂ.ધ્યાનસ્વામીએ વ્રજમાંથી વિચરણ કરીને વર્ષો પહેલા સેંજળ ગામને પોતાની સાધના ભૂમિ બનાવી હતી. આજે ત્યાં તેમની ચેતન સમાધિ છે. તેઓ મોરારીબાપુની ભક્તિ પરંપરાના મૂળ પુરુષ છે. તેમના અધિકારી શિષ્ય પૂ .જીવનદાસજીના વંશમાં મોરારીબાપુ નો જન્મ થયો. એ મૂળ પુરુષના પુણ્યસ્મરણ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:25 pm

રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ નોંધાયા:યુવક-યુવતી અને આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, ટ્રેન હડફેટે બે સંતાનોના પિતાનું મોત, આપઘાતની આશંકા

રાજકોટ શહેરમાં આપઘાતના વધુ 3 બનાવ સામે આવ્યા છે જેમાં એક યુવક એક યુવતી અને એક આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ પોરબંદરના યુવકે રાજકોટમાં ગળેફાંસો ખાઈ જયારે બે વર્ષ પહેલા બિલ્ડીંગ પરથી કૂદકો મારતા પહોંચેલી ઈજાનો દુઃખાવો સહન ન થતાં યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત મોરબી રોડ પર ટ્રેન હડફેટે યુવકનું મોત થતા તેને આપઘાત કર્યો હોવાની શંકા આધારે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના યુવકનો રાજકોટમાં આપઘાત રાજકોટના જગન્‍નાથ પ્‍લોટમાં રહેતાં યશ લાખાભાઇ વાળા (ઉ.વ.28) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં મોત નિજયુ હતું બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યશ મુળ પોરબંદરનો વતની હોવાનું અને રાજકોટમાં પોતે ચાર વર્ષથી રહી બ્‍યુટી પાર્લરનીમાં નોકરી કરતો હતો. યશ ગઇકાલે સાંજે રૂમ પર હતો ત્‍યારે સાથેના બીજા છોકરાઓને ટીફીન લેવા મોકલ્‍યા હતાં. આ છોકરા ટીફીન લઇને આવ્‍યા ત્‍યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્‍યો હતો યશ બે ભાઈ બહેનમાં નાનો અને અપરણિત હતો. પરિવાર જ્‍યારે લગ્નનું કહે ત્‍યારે તે કહેતો કે પહેલા મારે કારકિર્દી બનાવવી છે પછી લગ્ન કરીશ. જો કે આપઘાત ક્યાં કારણોસર કર્યું તે જાણવા ન મળતા પોલીસ મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. BSNLના હેલ્પરનો ગૃહકલેશથી કંટાળી આપઘાત રાજકોટના પારેવડી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.3માં રહેતા મહેન્દ્રભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.44) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે લોખંડના એગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મનસુખભાઇ એક ભાઇ એક બહેનમાં નાના અને BSNLમાં હેલ્પર તરીકે નોકરી કરતા હોવાનું અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકલેશથી કંટાળી જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે. બે વર્ષ પૂર્વે બિલ્ડીંગ પરથી કૂદકો મારતા પહોંચેલી ઈજાનો દુઃખાવો સહન ન થતાં યુવતીનો આપઘાત રાજકોટના રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી પાયલ બચુભાઇ બાંભવા (ઉ.વ.20) નામની યુવતીએ ગઇકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેનુ મોત નીપજ્યુ હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પાયલ એક ભાઇ ત્રણ બહેનમાં નાની હોવાનું અને તેના છૂટાછેડા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. બે વર્ષ પહેલા હનુમાન મઢી ચોક પાસે આવેલા બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજા થઇ હોય જેનો દુખાવો સહન થતો ન હોવાથી તેણીએ આ પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટ્રેન અડફેટે ચડી જતા યુવાનનું મોત, આપઘાતની શંકા રાજકોટના મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી ફાટક પાસે અજાણયો યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતા 108ના સ્ટાફે મૃત જાહેર કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન તેની ઓળખ મળતા તે મુળ ધ્રાંગધ્રાનો વતની અને હાલ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલી રિધ્ધી સીધ્ધી સોસાયટીમાં એકલો રહેતો ગૌતમ મગનભાઈ પરમાર (ઉ.વ.38) હોવાનુ જાણવા મળ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તેને સંતાનમાં બે પુત્રો હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતકે ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાત કરી લીધાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:19 pm

ડાંગમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ:ત્રણ દિવસથી હવામાનમાં અચાનક પલટો, શિયાળુ પાકને નુકસાનની ભીતિ

ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનને કારણે વાતાવરણમાં ભેજ વધ્યો છે, જેના પરિણામે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ બદલાયેલા હવામાનથી જનજીવન અને ખેતી પર અસર થવાની શક્યતા છે. ડાંગ જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત હોવાથી ખેડૂતો માટે આ હવામાન પરિવર્તન ચિંતાજનક બન્યું છે. શિયાળુ પાક જેવા કે ઘઉં, ડુંગળી, લસણ, ચણા અને વિવિધ શાકભાજી પર વાદળછાયા વાતાવરણની માઠી અસર થવાની ભીતિ છે. સતત ભેજને કારણે પાકમાં ફૂગ, રોગચાળો અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, જે ઉત્પાદન ઘટાડી શકે છે. ખેડૂતોના મતે, જો આગામી દિવસોમાં વરસાદ પડે અથવા ભેજ યથાવત્ રહે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ડુંગળી અને શાકભાજીના પાકમાં સડો થવાની સમસ્યા ઊભી થઈ શકે છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. આ ઉપરાંત, ડાંગ જિલ્લાના મહત્વપૂર્ણ કેરીના પાક પર પણ આ હવામાન પરિવર્તનની અસર થવાની શક્યતા છે. હાલ કેરીના વૃક્ષોમાં મંજરી આવવાની પ્રક્રિયા ચાલી રહી છે. વાદળછાયા વાતાવરણ અને વધેલા ભેજને કારણે મંજરી પર રોગ લાગવાની અને ફળધારણ પર અસર થવાની સંભાવના છે, જે કેરીના ઉત્પાદનને પ્રતિકૂળ અસર કરી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી એક-બે દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. કૃષિ વિભાગે ખેડૂતોને તેમના પાકની નિયમિત દેખરેખ રાખવા, જરૂર જણાય ત્યાં રોગનાશક દવાઓનો ઉપયોગ કરવા અને સંભવિત નુકસાનથી બચવા માટે તકેદારી રાખવાની સલાહ આપી છે. હવામાનના આ અચાનક બદલાવે ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધારી છે. હવે સૌની નજર આગામી દિવસોમાં હવામાન કેવું રહે છે તેના પર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:16 pm

સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહની હાજરી:શિક્ષપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, કાયમી અન્નક્ષેત્ર ચલાવવાની કાલુપુર મંદિરની જાહેરાત

શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત પાંચ દિવસીય 'સમૈયા મહોત્સવ'નું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. અડાલજ ચોકડી પાસેના પર્વ ગ્રાઉન્ડ ખાતે હજારો હરિભક્તોને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ વ્યવહારિક અને સુચારુ જીવન જીવવાનું માર્ગદર્શન આપતું નૈતિક સંવિધાન છે. 'સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ નહીં થાય તેવું શાસન આવ્યું'કેન્દ્રીય ગૃહમંત્રીએ શિક્ષાપત્રીના 200 શ્લોકોનો મહિમા વર્ણવતા કહ્યું કે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની સાથે તેમાં વ્યવહાર પક્ષ ખૂબ મજબૂત છે. લખાણ વગર ધિરાણ ન કરવું કે કોઈના ઘરમાં પાછળના દરવાજેથી ન પ્રવેશવું જેવી નાની લાગતી વાતો પણ જીવનને અનુશાસિત બનાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હવે સનાતન ધર્મના અનુયાયીઓ ક્યારેય નિરાશ નહીં થાય તેવું શાસન આવ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ રામ મંદિરનું નિર્માણ અને 370ની કલમ હટાવવી તે છે. '5 લાખ વૃક્ષ વાવવા અને કાયમી અન્નક્ષેત્રની જાહેરાત'મહોત્સવના પૂર્ણાહુતિ અવસરે સામાજિક જવાબદારીના મોટા સંકલ્પો લેવાયા હતા. જે અન્વયે કાલુપુર મંદિર દ્વારા આવતીકાલથી 5 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ થશે. જ્યારે 200 દિવસ સુધી 200 લોકોને જમાડવાનો સંકલ્પ હવે કાયમી ધોરણે 'અન્નક્ષેત્ર'માં પરિવર્તિત કરાશે. તો અહીં સોલાર પ્લાન્ટ થકી સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેની ગૃહમંત્રીએ ખાસ પ્રશંસા કરી હતી. 'જો ઘરથી જ શિક્ષાપત્રીના સંસ્કારોનું સિંચન થશે તો જ સાચો ઉત્સવ ઉજવાશે'સંતોના આશીર્વચન અને સન્માન આચાર્ય કૌશલ્યપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, જો ઘરથી જ શિક્ષાપત્રીના સંસ્કારોનું સિંચન થશે તો જ સાચો ઉત્સવ ઉજવાશે. જ્યારે લાલજી મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજીએ આ સમૈયાની સફળતાનો શ્રેય સંતો અને હરિભક્તોના ટીમવર્કને આપ્યો હતો. મહોત્સવના શ્રેષ્ઠ આયોજન બદલ અમિત શાહે લાલજી મહારાજને મંચ પરથી સન્માનિત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીને ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ ભેટ સ્વરૂપે અર્પણઆ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવો અને સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના અંતે કેન્દ્રીય ગૃહમંત્રીને ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અમૂલ્ય છાપ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:10 pm

ગોધરામાં ABVPએ તિરંગા યાત્રા યોજી:કુલપતિ ડૉ. હરિભાઈ કાતરીયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગોધરા નગર દ્વારા 27 જાન્યુઆરીના રોજ ગોધરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન ગોધરાની એસ.પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી થયું હતું. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે અંકલેશ્વર મહાદેવ રોડ અને ગાંધીચોક વિસ્તારમાંથી પસાર થઈ હતી. આ યાત્રામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. યાત્રા દરમિયાન નાગરિકોએ પણ આ આયોજનને આવકાર આપ્યો હતો. ABVP ના કાર્યકર્તાઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે યાત્રાનું સંચાલન કર્યું હતું. આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવાનો અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો હતો.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:03 pm

27 જાન્યુઆરી સુધીમાં 83 હજાર ઉમેદવારે PSI-LRDની ફિઝિકલ ટેસ્ટ આપી:35,500 પાસ થયા, દોડ દરમિયાન 2 ઉમેદવારોનું મોત થયું

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRDની સીધી ભરતી માટેની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા 13 માર્ચ, 2026 સુધી ચાલશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કુલ 1.35 લાખ ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 83 હજાર ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમાંના 35,500 ઉમેદવારો સફળતાપૂર્વક શારીરિક કસોટી પાસ કરી ચૂક્યા છે. દોડ દરમિયાન 2 ઉમેદવારોનું મોત દરમિયાન શારીરિક કસોટી દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પણ સામે આવી છે. અત્યાર સુધીમાં દોડ દરમિયાન 2 ઉમેદવારોનું મોત થયું છે. જ્યારે નડિયાદમાં એક ઉમેદવારને બ્લડ પ્રેશરની તકલીફ જણાતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેને બીજા દિવસે ફરી પરીક્ષા આપવા બોલાવવામાં આવ્યો હતો. 3,000 ઉમેદવારોએ પરીક્ષાની તારીખ બદલવા રજૂઆત કરીઆ સાથે જ અંદાજે 3,000 ઉમેદવારોએ શારીરિક કસોટીની તારીખ બદલવા માટે રજૂઆત કરી હતી. બોર્ડે દરેક રજૂઆતનો વિચાર કરીને તમામ ઉમેદવારોની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો હોવાનું જણાવાયું છે. આ પણ વાંચો: LRDની રનિંગ ટેસ્ટ 25 મિનિટમાં પૂરી કરવા શું કરવું? 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી યોજાઈ રહી છેરાજ્યના 15 શહેરો અને જિલ્લાઓમાં આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર અને ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી યોજાઈ રહી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, મહેસાણા, વડોદરા, જુનાગઢ, ભુજ, હિમ્મતનગર (સાબરકાંઠા), બનાસકાંઠા, ગોધરા, નડિયાદ, ગોંડલ, વાવ અને સુરતનો સમાવેશ થાય છે. આ પણ વાંચો: રનિંગમાં પહેલા દિવસે 60 ટકા ઉમેદવારો ફેઈલ બાયોમેટ્રિક સિસ્ટમ, ફોટોગ્રાફી અને RFID ટેકનોલોજીનો ઉપયોગનાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે બાયોમેટ્રિક સિસ્ટમ, ફોટોગ્રાફી અને RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ તમામ કસોટી CCTV કેમેરાની નજર હેઠળ યોજાઈ રહી છે. કોઈપણ પ્રકારની ગુણરાખવાની પદ્ધતિ લાગુ નથીશારીરિક કસોટી બે તબક્કામાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોની દોડની કસોટી લેવામાં આવે છે, જ્યારે દોડમાં પાસ થયેલા ઉમેદવારો માટે બીજા તબક્કામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં માપ કસોટી થાય છે. શારીરિક કસોટીમાં કોઈપણ પ્રકારની ગુણરાખવાની પદ્ધતિ લાગુ કરવામાં આવતી નથી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:01 pm

મોરબીમાં ઘરવિહોણા માટે નાઈટ ડ્રાઈવ યોજાઈ:16 લોકોને આશ્રયગૃહ પહોંચાડવામાં આવ્યા

મોરબીમાં મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી નગરપાલિકા દ્વારા નિયુક્ત સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. નિરાધારોને આશ્રય આપવાના હેતુથી, કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગત રાત્રિએ નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ઠંડીની મોસમમાં ઘરવિહોણા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ નાઈટ ડ્રાઈવ દરમિયાન, મોરબી શહેરમાં ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી. તેમને કાઉન્સેલિંગ કરીને આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રયાસના ભાગરૂપે, કુલ ૧૬ ઘરવિહોણા નાગરિકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 7:01 pm

વલસાડ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર:સંગઠનમાં અનુભવી અને યુવા ચહેરાઓનો સમાવેશ

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનના નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખે આ યાદી જાહેર કરી હતી. નવી ટીમમાં 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રીઓ અને 8 મંત્રીઓની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, કોષાધ્યક્ષ, કાર્યાલય ઇન્ચાર્જ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, આઈટી સેલ અને મીડિયા ઇન્ચાર્જની પણ નિમણૂક કરાઈ છે. પાર્ટીને પાયાના સ્તરે મજબૂત કરવા માટે ભાજપના સાત મુખ્ય મોરચાઓના પ્રમુખ અને મહામંત્રીઓના નામોની પણ ઘોષણા કરવામાં આવી છે. જેમાં મહિલા મોરચો, યુવા મોરચો, ઓબીસી મોરચો, કિસાન મોરચો, એસ.ટી. મોરચો, એસ.સી. મોરચો અને લઘુમતી મોરચાનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, આ ટીમ વલસાડ જિલ્લાના 12 મંડલો અને 5 વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટીના વ્યાપને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ટીમમાં સિનિયર આગેવાનોના અનુભવની સાથે નવા યુવા ચહેરાઓને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. સંગઠનમાં તમામ જ્ઞાતિ-સમીકરણો અને ભૌગોલિક વિસ્તારોનું સંતુલન જાળવીને એક કમળનો ગુલદસ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવી પાર્ટીના વિકાસમાં સક્રિય ફાળો આપવા આહવાન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:56 pm

ભરૂચમાં મતદાર યાદીમાંથી નામ કઢાવવા મુદ્દે કોંગ્રેસ આક્રમક:પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની હાજરીમાં બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીમાંથી ખોટી રીતે નામો દૂર કરવાના આક્ષેપોને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં આગામી કાર્યવાહીની રૂપરેખા ઘડવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે SIRની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-07નો ખોટી રીતે ઉપયોગ કરીને ભરૂચ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પરથી યોગ્ય મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “વોટ ચોર, ગદ્દી છોડ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક-એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમગ્ર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આગળની કાર્યવાહી અંગે નિર્ણયો લેવામાં આવ્યા. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે અને જો જરૂર પડશે તો ન્યાયાલયના દ્વાર પણ ખખડાવવામાં આવશે. શેખે નાગરિકોને કોઈપણ પ્રકારના ગભરાટ કે ડર વિના પોતાના યોગ્ય પુરાવા સાથે બી.એલ.ઓ. સમક્ષ રજૂઆત કરવા આહ્વાન કર્યું હતું. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત શહેર અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:55 pm

એમ. એમ. પટેલ કોલેજના કર્મીને લાંચ કેસમાં જામીન મળ્યાં:નિવૃત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના લાભોની ફાઇલ ઉપર સહી કરવા ટ્રસ્ટીએ 5 લાખ માગ્યા હતા, ટ્રસ્ટી પોલીસ પકડથી દૂર

અમદાવાદના ACB પોલીસ મથકે ગુલબાઈ ટેકરા ખાતે આવેલી કોલેજ એમ. એમ. પટેલના ટ્રસ્ટી તિમિર અમીન અને વોચમેન મુરલી મનોહર ઝંડોલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ કોલેજના નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પેન્શન સહિતના લાભો મેળવવાની ફાઈલ ઉપર ટ્રસ્ટીના સહીની જરૂર હતી. જે માટે ટ્રસ્ટી તિમિર અમીને ફરિયાદી પાસેથી 5 લાખની લાંચ માંગી હતી. જેમાંથી 2 લાખ રૂપિયા તેણે અગાઉથી જ મેળવી લીધા હતા. જ્યારે બાકીના 3 લાખ રૂપિયા વોચમેન મુરલી મનોહર ઝંડોલને આપવા જણાવ્યું હતું. ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતોફરિયાદી બાકીની લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓ એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવતા આરોપી મુરલી મનોહર ઝંડોલ 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય આરોપી એવા ટ્રસ્ટી તિમિર અમીન ફરાર છે. કોર્ટે વકીલની દલીલ બાદ જામીન મંજૂર કર્યાઆરોપી ચોકીદારે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેમાં અરજદાર વતી એડવોકેટ પાર્થવીર ચારણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ચોકીદારે જે રકમ સ્વીકારી તે શેના માટે સ્વીકારી તેની જ તેને ખબર નહોતી. તેને ફક્ત ટ્રસ્ટીના આદેશનું પાલન કર્યું હતું. તે રકમમાંથી ચોકીદારનો કોઈ ભાગ ન હતો. હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહી રાખીને જામીન મંજૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:52 pm

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:વીજ લાઇનના વળતર સહિતની વિવિધ માંગણીઓ રજૂ કરી

જામનગરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં ખાનગી કંપની 765kv લાઇન, વીજ પોલ દીઠ વળતર, અને જમીન સંપાદન કાયદા સંબંધિત વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. સમિતિએ માંગ કરી હતી કે ખાનગી 765kv લાઇનનો રૂટ સંપૂર્ણપણે બદલીને દરિયા કિનારે કિનારે લઈ જવામાં આવે. આ ઉપરાંત, પ્રત્યેક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા અથવા 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર આપવાની પણ રજૂઆત કરાઈ હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજ પોલ 25-30 વર્ષ સુધી ખેતરમાં રહેવાનો હોવાથી, તેટલા વર્ષો સુધી ખેતરની ઘટતી કિંમતનો વળતરમાં સમાવેશ થવો જોઈએ. મોબાઈલ ટાવર કે પવનચક્કીની જેમ, વીજ પોલ દીઠ ખેડૂતોને માસિક-વાર્ષિક ભાડું પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં 1885ના ધ ટેલિગ્રાફ એક્ટ રદ થઈ ગયો હોવા છતાં તેના મુજબ નોટિસ શા માટે આપવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. સમિતિએ સવાલ કર્યો કે નવસારી કલેક્ટર માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાનો હુકમ કરી શકે છે, તો જામનગર કલેક્ટર આવો હુકમ કેમ નથી કરતા. ખેડૂતોએ એ પણ રજૂઆત કરી કે કલેક્ટર 1885ના ટેલિગ્રાફ એક્ટ મુજબ નોટિસ આપે છે, તો વળતર રાજ્ય સરકારના પરિપત્રો મુજબ શા માટે નક્કી કરે છે. જે કાયદા મુજબ નોટિસ આપવામાં આવે, તે જ કાયદા મુજબ વળતર પણ આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી હતી. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું કે કંપનીઓ વીજ લાઈનો પસાર કરીને કરોડો-અબજો કમાવાની છે, ત્યારે ખેડૂતોને નજીવું વળતર શા માટે મળે. તેમની મિલકત હોવા છતાં વળતર બીજું કોઈ શા માટે નક્કી કરે છે તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો. જો ખાનગી વીજ કંપનીઓ મફત વીજળી આપવાની હોય, તો ખેડૂતોને પણ વળતર નથી જોઈતું તેમ જણાવ્યું. ખેડૂતોએ સવાલ કર્યો કે કંપનીઓ તેમનો ધંધો કરવા માટે ખેડૂતોની મરજી વગર તેમની મિલકતનો ઉપયોગ કેવી રીતે કરી શકે. બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે, પરંતુ સરકાર ખાનગી કંપનીઓ માટે તેના પર તરાપ મારે છે. કાયદા મુજબ ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ, પરંતુ સરકાર ખાનગી કંપનીઓને આપે છે. કંપની દ્વારા કરેલ દરેક કાગળ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો. અંતે, સરકારે પૂરતું વળતર ન આપવું અને કંપનીના કાગળો ન આપવા એ સરકાર ખેડૂત તરફી છે કે કંપની માટે તેવો સવાલ કરવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:49 pm

ગોધરામાં ચાલુ બાઇકે ચક્કર આવતા મહિલા પટકાઈ:દાહોદ રોડ પર અકસ્માત, ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ દાખલ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામે એક મહિલા ચાલુ બાઇક પરથી ચક્કર આવતા નીચે પટકાઈ હતી. આ ઘટનામાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોટડા ગામના રહેવાસી સુમિત્રાબેન બારીયા આજે સાંજે પોતાના જમાઈ સાથે બાઇક પર ગોધરા તરફ આવી રહ્યા હતા. ગોધરાના દાહોદ રોડ પરથી પસાર થતી વખતે અચાનક તેમને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતા સુમિત્રાબેને બાઇક પરનું સંતુલન ગુમાવ્યું અને નીચે પટકાયા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ તેમને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:36 pm

ધનસુરા ITI માં ખેલ મહોત્સવ યોજાયો:પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર સન્માનિત, વિદ્યાર્થીઓએ રમતોમાં ભાગ લીધો

ધનસુરા તાલુકાના વડાગામ ખાતે આવેલી ITI માં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, ITI ના ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા, આચાર્ય દીપકભાઈ રાઠવા, પૂર્વ ચેરમેન ઉદુભ લખુભા જાડેજા, ITI નો તમામ સ્ટાફ, રાજુભાઈ રાવલ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવની શરૂઆત વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈને કરી હતી. વડાગામ ITI ખાતે આ ખેલ મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:35 pm

જયરાજની ધરપકડ બાદ પણ કોળી સમાજ ન્યાય સભા યોજવા અડગ:ભાવનગરમાં 200 સ્થળે બેનરો લાગ્યા, જીતુ વાઘાણીના મત વિસ્તારમાં સભાની તૈયારી; સાંસદ-ધારાસભ્યોને આમંત્રણ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં માયા આહીરના પુત્ર જયરાજ આહીર સામે ગુનો નોંધી ધરપકડ કરાયા બાદ પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. જયરાજ આહીર સામેની કાર્યવાહી બાદ પણ સમસ્ત કોળી-ઠાકોર સમાજે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભા યોજવાની જાહેરાત કરી છે. જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજીત આ ન્યાય સભા માટે શહેરના અલગ અલગ 200 સ્થળે બેનર લગાવવામાં આવ્યા છે. કોળી સમાજના સાંસદ અને ધારાસભ્યોને પણ ન્યાય સભામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોળી સમાજના વિસ્તારમાં 200 જેટલા બેનર લાગ્યાનવનીત બાલધિયાના સમર્થનમાં આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણીના મત વિસ્તારમાં જે કોળી સમાજ મતદારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે તે વિસ્તારમાં કોળી સમાજ દ્વારા જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સભા સ્થળ મંડપ નાખવાની કામગીરી ચાલી રહી છે.તદઉપરાંત શહેરમાં જે જે સ્થળોએ કોળી સમાજ વસવાટ કરી રહ્યો છે જેમાં હાદાનગર, મેપાનગર, સત્યનારાયણ સોસાયટી, બોરતળાવ મફતનગર, ગણેશ ગઢ, બાનુબેનની વાડી કુંભારવાડા, નારીગામ, ફુલસર, સતનામ ચોક, રામદેવનગર કુંભારવાડા સહિતના અનેક વિસ્તારોમાં 200 થી વધુ સમસ્ત કોળી - ઠાકોર સમાજ ન્યાય સભા આયોજિતના બેનરો લગાવામાં આવ્યા.છે. નવનીત બાલધિયાને ન્યાય મળે એ માટે સભાનું આયોજન- હિરેન વાઘેલાઆ અંગે કોળી સમાજના યુવા આગેવાન હિરેન વાઘેલાએ જણાવ્યું હતું કે ન્યાય સભાનું આયોજન છે. જેના અનુસંધાને રોજ રાત્રિના ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં મીટીંગો કરી લોકોને આ ન્યાય સભામાં આવવા આહવાન કર્યું છે. અમારો એક જ ધ્યેય છે કે અમારા સમાજના નવનીત ભાઈ સાથે અન્યાય થયો છે એને ન્યાય મળે.જે સભામાં શહેર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં લોકો આવશે. આ ન્યાય સભામાં બધા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આમંત્રણ પાઠવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે આ બગદાણા પ્રકરણમાં પોલીસનો મુખ્ય રોલ છે, ડી.વી. ડાંગર, ઝાલા સાહેબ, પટેલ સાહેબ, સૌથી મોટી ભૂમિકા તો એમની જ છે એમની ઉપર પગલાં લેવાના છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પર આક્ષેપકેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આમાં ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીનો રોલ છે.શરૂઆતમાં માયાભાઇનો અને અમારા સમાજના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાનો ફોટો વાયરલ કર્યો હતો. ત્યારબાદ અમારા સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે એમનો ફોટો વાયરલ કર્યો હતો. આમ જીતુ વાઘાણીનું એક જ છે કે આ સમાજમાં ભાગલા પડવાની જે એની નીતિ છે. કોઈપણ અમારા સમાજ ઉપર અત્યાચાર કરશે ત્યારે અમે ભાજપ, કોંગ્રેસ, આપ મૂકીને અમે બધા એક જ છીએ એવું સાબિત કરી દેખાડીશું.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AMC સ્કૂલ બોર્ડનું 1200 કરોડનું બજેટ, 353 શાળાઓ 'અનુપમ સ્કૂલ' બનશે; ખાનગી હોસ્પિટલમાં અર્ધ બેભાન મહિલા સાથે અડપલાં

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:30 pm

નબળું હેલ્મેટ રત્નકલાકારનો જીવ ન બચાવી શક્યું!:ડિંડોલી-ઉધના બ્રિજ પર ઓવરટેક કરવા જતાં યુવકનું બાઈક સિટી બસના પાછળના ટાયરમાં ઘૂસી ગયું, સ્થળે જ મોત

સુરત શહેરમાં માર્ગ અકસ્માતો દરમિયાન હેલ્મેટ પહેરેલું હોવા છતાં મોત થવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ સુરક્ષાના નામે પહેરવામાં આવતા 'હલકી ગુણવત્તા'ના હેલ્મેટ છે. આજે (27 જાન્યુઆરી) ડિંડોલી-ઉધના બ્રિજ પર બનેલી ઘટનામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. બાઈકસવાર યુવકે પોલીસના દંડથી બચવા માટે ટોપી જેવું હાફ હેલ્મેટ પહેર્યું હતું, જે સમાન્ય રીતે બાંધકામ સાઈડ પર પહેરતા લોકો જોવા મળે છે, જે રોડ પર સુરક્ષાની દૃષ્ટિએ શૂન્ય સમાન છે. જ્યારે અસલી અકસ્માત સર્જાયો, ત્યારે આ પ્લાસ્ટિક જેવું નબળું હેલ્મેટ માથાને રક્ષણ આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું અને યુવકે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો. પોલીસ સુત્રોના કહ્યાં મુજબ, માત્ર દેખાડા ખાતર પહેરાતા આવા હેલ્મેટ વાસ્તવમાં મોતના છટકા સાબિત થઈ રહ્યા છે. ઓવરટેક કરવાના પ્રયાસમાં બાઈક પરથી ગુમાવ્યો કાબૂઅકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર, ડિંડોલી-ઉધના બ્રિજ પર સિટી બસ આગળ ચાલી રહી હતી. બાઈકસવાર જીતેન્દ્ર મહાજન સિટી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા તેમની બાઈક સીધી બસના પાછળના ભાગે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, જીતેન્દ્રભાઈ બસના પાછળના ટાયર પાસે ફસાઈ ગયા હતા. ઓવરટેક કરવાની ઉતાવળ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન આ ભયાનક અકસ્માતનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. રત્નકલાકાર પરિવારનો આશરો છીનવાયોમૃતકની ઓળખ 38 વર્ષીય જીતેન્દ્ર મહાજન તરીકે થઈ છે, જેઓ વ્યવસાયે રત્નકલાકાર હતા. તેઓ દરરોજની જેમ આજે વહેલી સવારે પોતાની કંપનીમાં કામ પર જવા નીકળ્યા હતા. પરિવાર માટે કમાણી કરવા નીકળેલા જીતેન્દ્રભાઈ કાળનો કોળિયો બની જશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનો કોઈ લાભ ન મળ્યો, કારણ કે તે ગુણવત્તાના ધોરણો પર ખરું ઉતરતું નહોતું. એક મધ્યમવર્ગીય રત્નકલાકારના અકાળે અવસાનથી તેમના પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. મજબૂત હેલ્મેટનો ઉપયોગ કરવા અપીલઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. લોકો માત્ર ટ્રાફિક પોલીસથી બચવા માટે સસ્તા અને નકામા હેલ્મેટ ખરીદે છે, જે અકસ્માત વખતે માથાના નાજુક ભાગોને રક્ષણ આપી શકતા નથી. ડિંડોલી પોલીસે લોકોને અપીલ કરી છે કે, પોતાના જીવનની સુરક્ષા માટે માત્ર ISI માર્ક વાળા અને મજબૂત હેલ્મેટનો જ ઉપયોગ કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:23 pm

છોટા ઉદેપુરના સુસ્કાલમાં રેતી સ્ટોકમાં કરંટથી સગીરનું મોત:રગડો કાઢતી વખતે ઘટના, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

છોટા ઉદેપુર જિલ્લાના સુસ્કાલ ખાતે એક રેતીના સ્ટોકમાં રગડો કાઢતી વખતે કરંટ લાગવાથી એક સગીરનું મોત થયું છે. આ ઘટનામાં સગીરના બે ભાઈઓનો આબાદ બચાવ થયો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લામાં રેતીના ગેરકાયદેસર સ્ટોક અને કામગીરીને કારણે અકસ્માતો બનતા રહે છે. સુસ્કાલ ખાતેનો આ કિસ્સો પણ રેતીના સ્ટોક ધારકોની બેદરકારીના કારણે બન્યો હોવાનું મનાય છે. આ ઘટના સુસ્કાલ ખાતે મીરા એન્ટરપ્રાઈઝ નામના રેતીના સ્ટોક પર બની હતી. અહીં રેતી ધોવાની કામગીરી ચાલી રહી હતી. ગોધરા નજીકના ત્રણ ભાઈઓ આ સ્ટોક પર કામ કરતા હતા. ગઈકાલે, રેતી ધોતી વખતે કાદવ (રગડો) કાઢવા માટે તેઓ આશરે સાત ફૂટ ઊંડા કૂવામાં ઉતર્યા હતા. તે સમયે મોટર ચાલુ હતી. કૂવામાં ઉતર્યા બાદ અચાનક કરંટ લાગતા એક સગીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બે ભાઈઓને પણ કરંટ લાગ્યો હતો, પરંતુ તેઓ કૂવાની પાળી પકડીને ઊંચા થઈ જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા મીરા એન્ટરપ્રાઈઝના માલિકે તાત્કાલિક સગીરને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. માલિક દ્વારા પરિવારજનોને જાણ કરાતા તેઓ તાત્કાલિક બોડેલી પહોંચ્યા હતા. આજે બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે પરિસ્થિતિ તંગ બની છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:12 pm

મોરબીમાં જુગારના બે દરોડા:10 શખ્સો ઝડપાયા, માધાપર અને સર્કિટ હાઉસ સામેથી રોકડ સાથે ધરપકડ

મોરબી પોલીસે જુગાર વિરુદ્ધ કાર્યવાહી કરતા બે જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 10 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કુલ ₹58,700 રોકડા જપ્ત કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ દરોડો મોરબીના માધાપર શેરી નંબર-4 માં મુનાવરખાન યુસુફખાનના રહેણાંક મકાનમાં પાડવામાં આવ્યો હતો. અહીંથી ઘરધણી મુનાવરખાન યુસુફખાન યુસુફઝઈ (45), તેનો પુત્ર સાજીદખાન મુનાવરખાન યુસુફઝઈ (19), દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા (44), રવિભાઈ દેવાભાઈ ડાભી (19), વિમલભાઈ ઉર્ફે વિપુલ નટુભાઈ સોલંકી (48), હનીફભાઈ હુસેનભાઇ દિવાન (42) અને વિપુલભાઈ ઉર્ફે ડબલી રામભાઈ ગરીયા (28) ને જુગાર રમતા ઝડપી લેવાયા હતા. પોલીસે તેમની પાસેથી ₹25,500 રોકડા જપ્ત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. બીજો દરોડો મોરબીમાં સર્કિટ હાઉસ સામેના ભારતપરા મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પર પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા (19), પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાણીયા (28) અને અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા (20) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹33,200 રોકડા કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:08 pm

દબાણોની ફરિયાદ કર્યા બાદ વેપારીઓના વાહનો ઉઠાવતી ટ્રાફિક પોલીસ:ત્રણ દરવાજાથી પાનકોરનાકા સુધી દુકાનો બંધ કરીને વિરોધ કર્યો, પાથરણાંવાળાની પોલીસને રજૂઆત કરી'તી

અમદાવાદના ઐતિહાસિક ગણાતા એવા ત્રણ દરવાજાથી લઈ પાનકોરનાકા સુધી રોડ ઉપર ગેરકાયદેસર રીતે કેટલાક પાથરણાંવાળાઓ બેસી જતા હોવાના કારણે દુકાનદાર વેપારીઓને ધંધો થતો નથી અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, એવી ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેના પગલે આજે 27 જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ દરવાજાથી પાનપુરનાકા સુધીના ગેરકાયદેસર બેસતા પાથરણાંવાળાના દબાણો હટાવી લેવાયા હતાં. જોકે પોલીસ દ્વારા વેપારીઓએ તેમની દુકાન આગળ તેમના જ પાર્ક કરેલા વાહનોને ટ્રાફિક થતું હોવાના નામે ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા હતાં. જેના પગલે લોકોએ પોતાની દુકાન બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓએ દુકાનો બંધ કરીને વિરોધ નોંધાવ્યોસ્થાનિક વેપારી ઝુઝારભાઈએ જણાવ્યું હતું કે, ત્રણ દરવાજાથી પાનકોરનાકા સુધી દુકાનો આગળ પાથરણાંવાળાઓ બેસી જતા હતા, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસમાં અરજી કરી હતી. પોલીસે ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી જે વેપારીઓ છે તેમના વાહનો પણ અહીંયા પાર્કિંગ નથી એમ કહીને ઉઠાવી લીધા છે. જો પાર્કિંગ હોય તો તેના પુરાવા લઈ આવો:PIતેને વધુમાં કહ્યું કે, જે અંગે સ્થાનિક વેપારીઓ દુકાનો બંધ કરી કારંજ પોલીસ સ્ટેશનમાં ભેગા મળી રજૂઆત કરવા ગયા હતા, ત્યારે પોલીસ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં પાર્કિંગ નથી. અમે રજૂઆત કરી હતી કે છેલ્લા 70 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ અને અમારું અહીંયા પાર્કિંગ છે જ. ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, જો પાર્કિંગ હોય તો તેના પુરાવા લઈ આવો. સ્થાનિક વેપારીઓ દુકાન બંધ કરી અને ત્યાં રજૂઆત કરવા ગયા હતા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જઈશું. ‘પાર્કિંગના બોર્ડ લગાવેલા છે છતાં વાહનો ઉપાડી લેવામાં આવ્યા’વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ જગ્યા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગના બોર્ડ લગાવેલા જ છે તેમ છતાં પણ અહીંયાથી વાહનો ઉપાડી લેવામાં આવ્યા છે. પોલીસને રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 6:03 pm

મોરબી જલારામ ધામ દ્વારા 285 અસ્થિઓનું વિસર્જન:સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામૂહિક વિધિ સંપન્ન

મોરબી જલારામ ધામ અને જલારામ સેવા મંડળ દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 285 દિવંગતોના અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાં 15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓનો પણ સમાવેશ થાય છે. જલારામ ધામ અને શ્રી જલારામ સેવા મંડળ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરાવે છે. ત્યારબાદ તેમના અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમમાં સામૂહિક વિસર્જન કરવામાં આવે છે. સંસ્થા એવા સ્વજનોના અસ્થિઓનું વિસર્જન પણ કરે છે જેઓ પોતે વિસર્જન કરી શક્યા ન હોય. આ વિસર્જન પહેલા મોરબી વિદ્યુત સ્મશાન ખાતે શાસ્ત્રી રસિકલાલ ખેલશંકરભાઈ વ્યાસ દ્વારા અસ્થિઓની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ગઇકાલે સોમનાથના ત્રિવેણી સંગમમાં સામૂહિક અસ્થિ વિસર્જન કરાયું હતું. કુલ 285 અસ્થિઓમાં 15 બિનવારસી, 70 વિદ્યુત સ્મશાનના અને સંસ્થાના અસ્થિ કુંભમાંથી 200 અસ્થિઓનો સમાવેશ થાય છે. આ ધાર્મિક કાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, કિશોરભાઈ ચંડીભમર, હિતેશભાઈ જાની, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ અને જયંતભાઈ રાઘુરા સહિતના આગેવાનો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:56 pm

સ્કોર્પિયો ચાલકે પૂરઝડપે આવીને આગળની ગાડીને ટક્કર મારી:લગ્ન પ્રસંગે જતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત, રામોસણા બ્રિજ પાસે બે સ્કોર્પિયો વચ્ચે અકસ્માત

મહેસાણા શહેરના રામોસણા બ્રિજ પાસે સર્વિસ રોડ પર ગત રાત્રિના સુમારે બે સ્કોર્પિયો ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ મામલે ઊંઝા તાલુકાના કંથરાવી ગામના વૃદ્ધે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે બેદરકાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યાના ને અકસ્માતઊંઝાના કંથરાવી ગામે રહેતા 64 વર્ષીય પ્રવીણભાઈ પરમાર પાટણ ખાતેથી તેમના સંબંધીના દીકરાના લગ્ન પ્રસંગમાં જાનમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી રાત્રિના આશરે સાડા સાત વાગ્યાના સુમારે તેઓ અન્ય સાથીદારો સાથે સ્કોર્પિયો ગાડીમાં બેસી પાટણ જવા નીકળ્યા હતા. સ્કોર્પિયો ચાલકે પૂરઝડપે આવીને આગળની સ્કોર્પિયો ગાડીને ટક્કર મારીતે દરમિયાન રામોસણા ચોકડીથી ઊંઝા તરફ જવાના માર્ગે સર્વિસ રોડથી મેઈન હાઈવે પર ચઢતી વખતે આગળ બમ્પ આવ્યો હતો. બમ્પ આવતા આગળ ચાલી રહેલી અન્ય એક સ્કોર્પિયોના ચાલકે બ્રેક મારી હતી. જોકે પાછળ આવી રહેલી સ્કોર્પિયોના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતી ગાડીને જોરદાર ટક્કર મારી હતી. બે સ્કોર્પિયો ગાડીના અકસ્માતમાં ત્રણને ઈજાઆ ટક્કરને કારણે ગાડીમાં સવાર સોલંકી ઉત્તમભાઈને ડાબા હાથે, ફરિયાદ કરનાર પ્રવીણભાઈને કપાળ તથા કોણીના ભાગે અને વણકર અરવિંદભાઈને જમણા પગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ઈજાઓ પહોંચાડનાર સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ પ્રવીણભાઈએ ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:55 pm

મતદાર યાદીમાંથી મુસ્લિમ કલાકારનું નામ કાઢી નાખવાનો કારસો:જૂનાગઢ ભાજપ નેતાએ કરી અરજી, નવસારીમાંથી ઝડપાયો આતંકી, શનિવારે રજાની માગ સાથે બેંક કર્મીઓની હડતાળ

હથિયારો-વિસ્ફોટક દારૂગોળા સાથે આતંકીની ધરપકડ ગુજરાત એટીએસે નવસારીથી જૈશ-એ મહોમ્મદ અને અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી.. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. ચોક્કસ સમુદાય પર હુમલો કરી રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો કારસો ઘડી રહ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક મુસ્લિમ કલાકારનું નામ કાઢી નાખવાનો પ્રયાસ શાહબુદ્દીન રાઠોડ બાદ વધુ એક મુસ્લિમ કલાકારનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો કારસો. જૂનાગઢમાં ભાજપ નેતાએ પદ્મશ્રી હાજી રમકડુંનું નામ કાઢી નાખવા ફોર્મ નં 7 ભરી, અરજી કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દર શનિવારે રજાની માગ સાથે હડતાળ ફાઈવ ડેઝ અ વીકની માગ સાથે આજે રાજ્યભરમાં 15000 બેંક કર્મીઓ હડતાળ પર ઉતર્યા.બેંક કર્મીઓનું કહેવું છે કે શનિ-રવિ રજાથી ગ્રાહક સેવાને કોઈ અસર નહીં પડે..જો માગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અડધી રાત્રે મળ્યું ઠાકોર સમાજનું સંમેલન ગાંધીનગરમાં મોડી રાત્રે ઠાકોર સમાજના મહાસંમેલનમા ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ગેનીબેન એક સ્ટેજ પર દેખાયા. અલ્પેશે ઠાકોરે રાજનીતિમાં કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દેવાની વાત કરી.. ગેનીબેને સમાજના લોકોને પટાવાળા અને સિક્યોરિટીને બદલે IAS-IPS બનવા હાકલ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીનો હુંકાર સુરતમાં કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીએ નવનિત બાલધિયા પર થયેલા હુમલા મામલે ચેતવણી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌરાષ્ટ્રના ત્રણ શહેર-જિલ્લા પ્રમુખ બદલાય તેવી શક્યતા સૌરાષ્ટ્રમાં રાજકોટ -મોરબી અને સુરેન્દ્રનગરના ભાજપ શહેર- જિલ્લા પ્રમુખો બદલાઈ શકે છે. રાજકોટમાં અલ્પેશ ઢોલરિયા અને માધવ દવેનું પદ જવાની ચર્ચા છે. મોરબીના પ્રમુખ જેન્તી રાજકોટિયાને દેવાના વિવાદને લઈને પદ છોડવું પડી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ ક્રિકેટરે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને દારુના નશામાં એક્સિડેન્ટ કર્યો. હેક્ટર ગાડીથી પાર્કિંગમાં ઉભેલા ત્રણ વાહનોને ટક્કર મારી.. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતના બે ગુના નોંધ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેપાળની જેલમાંથી ભાગેલો આરોપી ઝડપાયો નેપાળની જેલમાંથી Gen-Z આંદોલન સમયે ફરાર આરોપી અમદાવાદમાંથી પકડાયો. આરોપી તેની સાસુના ઘરે છુપાયેલો હતો. આરોપીની સાસુ લિસ્ટેડ બુટલેગર છે.આરોપીનો કબજો સેન્ટ્રલ એજન્સીને સોંપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રેન ચાલકે ટક્કર મારતા રાહદારીનું મોત વડોદરામાં મકરપુરા વિસ્તારમાં ક્રેન ચાલકે રાહદારીને કચડ્યો..ક્રેનના તોતિંગ પૈંડા ફરી વળતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ રિક્ષામાં ચાલકને હાર્ટ એટેક આવ્યો વડોદરાના રાજમહેલ રોડ પર ચાલુ રિક્ષામાં ચાલકને હાર્ટ એટેક આવ્યો...હોસ્પિટલ પહોંચતા પહેલા જ ચાલકનું મોત નીપજ્યું ઘટનાસ્થળે પહોંચેલી માતાના આક્રંદે સૌની આંખો ભીની કરી દીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:55 pm

RTOએ વલસાડમાં LED લાઈટવાળા વાહનો સામે કાર્યવાહી શરૂ કરી:બહારથી લગાવેલી લાઈટો પર પ્રતિબંધ, ચેકિંગ અને દંડ વસૂલાત ચાલુ

વલસાડ જિલ્લામાં વાહનોમાં બહારથી LED લાઈટો લગાવનારા ચાલકો સામે RTO દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતોમાં મોટાભાગે આવી LED લાઈટો કારણભૂત હોવાનું એક સર્વેમાં સામે આવ્યું હતું. આથી, રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ, રસ્તાઓ પર સફેદ LED લાઈટો લગાવીને ફરતા વાહનચાલકો સામે કડક પગલાં લેવાના આદેશ અપાયા છે. વલસાડ RTO દ્વારા આ મામલે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કંપની ફિટિંગ LED લાઈટવાળા વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં થાય, પરંતુ કારમાં બહારથી ફિટ કરેલી LED લાઈટના વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. RTO દ્વારા વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવી વાહન ચેકિંગ શરૂ કરાયું છે. વલસાડના એ.એલ.ટી.ઓ. એન. એચ. ગજેરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 21મી જાન્યુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, કંપની ફિટિંગ સિવાયની વધારાની મોડિફાઈડ LED લાઈટો લગાવવી એ ગુનો છે. કંપની દ્વારા અપાતી લાઈટો ARAI દ્વારા પ્રમાણિત હોય છે, જ્યારે બહારથી લગાવેલી તીવ્ર LED લાઈટો સલામતીના ધોરણોનું પાલન કરતી નથી. આ કાર્યવાહી પાછળનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. રાત્રિના સમયે સામેથી આવતા વાહનચાલકોની આંખો આવી તીવ્ર લાઈટોથી અંજાઈ જવાથી 'બ્લેક આઉટ'ની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ગંભીર અકસ્માતો થવાનો ભય રહે છે. RTO એ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ માત્ર ખાનગી વાહનો માટે જ નહીં, પરંતુ સરકારી ગાડીઓ, ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી ગુડ્સ વ્હીકલ સહિતના તમામ પ્રકારના વાહનોને લાગુ પડે છે. જો કોઈ પણ વાહનમાં મોડિફાઈડ LED લાઈટ મળી આવશે, તો સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે. વલસાડ RTO ની ટીમો બગવાડા ટોલ પ્લાઝા (અપ-ડાઉન), તલવાડા ચેક પોઈન્ટ અને કપરાડા-ધરમપુર રોડ જેવા વિસ્તારોમાં 24 કલાક ચેકિંગ કરી રહી છે. RTO એ વલસાડ જિલ્લાના તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે જો તેમણે પોતાના વાહનમાં વધારાની LED લાઈટો લગાવી હોય, તો તેને તાત્કાલિક દૂર કરાવી લે, અન્યથા કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:44 pm

પાટણ નેશનલ હાઈવે 68 બિસ્માર હાલતમાં:સાઈબાબા મંદિરથી મોતીશા દરવાજા સુધીનો માર્ગ અત્યંત ખરાબ; રાણીની વાવ માર્ગે મસમોટા ખાડા, સમારકામ માટે રજૂઆત

પાટણ જિલ્લામાંથી પસાર થતા રાધનપુર-પાટણ-ચાણસ્મા નેશનલ હાઈવે 68 પર પાટણથી સાઈબાબા મંદિર થઈ મોતીશા દરવાજા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ માર્ગના સમારકામ માટે પાટણ નગરપાલિકા ચેરમેન દ્વારા કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નેશનલ હાઈવે 68ના આ સેક્શનમાં વરસાદને કારણે ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ તરફ જતો મુખ્ય રસ્તો હોવાથી તેનું મહત્વ વધુ છે. બિસ્માર રસ્તાને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ તેમજ સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે અને નાના વાહનો તેમજ ટુ-વ્હીલર ચાલકો ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યામાં ફસાય છે. અગાઉ માર્ગ અને મકાન વિભાગ (નેશનલ હાઈવે) ને આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચેરમેન દેવચંદભાઈ એસ. પટેલે અમદાવાદ સ્થિત કાર્યપાલક ઈજનેરને પત્ર લખી તાકીદે સમારકામની માંગ કરી છે. આ પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રી સંજયસિંહ મયડા તેમજ મુખ્ય ઈજનેરને પણ મોકલી આપવામાં આવી છે. તંત્ર દ્વારા સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે અને પ્રવાસીઓ તથા સ્થાનિકોને રાહત મળે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:36 pm

ભરૂચમાં કાલે પ્રખરતા શોધ પરીક્ષા:ધોરણ-9ના 2,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ત્રણ તાલુકાના 10 કેન્દ્રો પર 86 બ્લોકમાં બેઠક વ્યવસ્થા

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા, તર્કશક્તિ અને સમજણની કસોટી કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવતી કાલે બુધવારે ધોરણ-9માં અભ્યાસ કરતા કુલ 2,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખી તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ આ પરીક્ષાનો છે. ભરૂચ જિલ્લામાં આ પરીક્ષાનું આયોજન ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે 86 બ્લોકમાં વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષાનું સુચારુ અને પારદર્શક આયોજન થાય તે માટે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક તૈયારી કરવામાં આવી છે. આ પરીક્ષા વ્યવસ્થાપન માટે 10 કેન્દ્ર સંચાલક, 10 સુપરવાઇઝર, 86 ખંડ નિરીક્ષક તેમજ 19 સેવક સહિત કુલ 125 જેટલા કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. પરીક્ષાનો સમય પ્રશ્નપત્ર-1 માટે સવારે 11 થી 1 વાગ્યા સુધી અને પ્રશ્નપત્ર-2 માટે બપોરે 2 થી 4 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. પ્રખરતા શોધ કસોટીમાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી ધોરણ-9થી ધોરણ-12 દરમિયાન દર વર્ષે રૂ.12,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય મળશે અને તેમની પ્રતિભાને વધુ પ્રોત્સાહન મળશે. તાલુકાવાર વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છેઅંકલેશ્વર તાલુકામાંથી 3 કેન્દ્રો પર 25 બ્લોકમાં 744 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભરૂચ તાલુકામાંથી 4 કેન્દ્રો પર 39 બ્લોકમાં 1,170 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ઝઘડિયા તાલુકામાંથી 3 કેન્દ્રો પર 22 બ્લોકમાં 653 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:21 pm

ધ્રાંગધ્રા નગરપાલિકાએ 29 લાભાર્થીઓને રૂ. 7.60 લાખ લોન આપી:પીએમ સ્વનિધિ હેઠળ જામીનગીરી વગર લોન, ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાના હેતુથી લોન વિતરણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 29 લાભાર્થીઓને કુલ રૂ. 7.60 લાખની લોન સહાયના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પહેલ સરકારની 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને સાકાર કરે છે. લોન વિતરણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં વહેંચીને સહાય પૂરી પાડવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 14 લાભાર્થીઓને રૂ. 15,000 લેખે, બીજા તબક્કામાં 8 લાભાર્થીઓને રૂ. 25,000 લેખે અને ત્રીજા તબક્કામાં 7 લાભાર્થીઓને રૂ. 50,000ની લોન એનાયત કરવામાં આવી હતી. આ યોજનાની પારદર્શિતા અને પ્રોત્સાહન નીતિ મુજબ, જે વેપારીઓ સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને ક્રમશઃ બીજા અને ત્રીજા તબક્કે વધુ રકમની લોન આપવાની જોગવાઈ છે. નગરપાલિકાના DAY-NULM વિભાગના પ્રોજેક્ટ મેનેજર અને સ્ટાફ દ્વારા ફોર્મ ભરવાથી લઈને લોન મંજૂરી સુધીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હતી. વધુમાં, લાભાર્થીઓને ડિજિટલ ઇન્ડિયા અભિયાન સાથે જોડીને ડિજિટલ વ્યવહાર કરવા બદલ બેંક મારફત કેશબેકની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આર્થિક સુધારાની પ્રક્રિયાને વેગવંતો બનાવવામાં આવ્યો છે. પી.એમ. સ્વનિધિ – પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના એ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના કાળ બાદ આર્થિક સંકડામણ અનુભવતા શેરી ફેરિયાઓ અને નાના લારી-ગલ્લા ધારકોને કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડવાનો છે. આ પહેલ દ્વારા નાના વેપારીઓને સત્તાવાર બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ વડાપ્રધાનના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકાના સભ્યો, પદાધિકારીઓ તેમજ DAY–NULM યોજનાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:14 pm

સલમાન, હૃતિક અને સૈફ-કરીના સુરતમાં રંગત જમાવશે:લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં બોલિવૂડનો જમાવડો થશે; શહેરીજનો મળવા આતૂર

ડાયમંડ સિટી સુરતમાં અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે. આગામી દિવસોમાં બોલિવૂડના સુપરસ્ટાર્સ પોતાની ટીમોનો ઉત્સાહ વધારવા માટે સુરતની મુલાકાત લેવાના છે. કયા સ્ટાર્સ ક્યારે આવશે?સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ફેબ્રુઆરીની શરૂઆત સુરતીઓ માટે ખૂબ જ રોમાંચક રહેવાની છે. 30 જાન્યુઆરીએ બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાન સુરત આવશે. 31 જાન્યુઆરીએ ગ્રીક ગોડ તરીકે જાણીતા હૃતિક રોશન હાજરી આપશે. 1 ફેબ્રુઆરીએ પટૌડી ખાનદાનના સૈફ અલી ખાન અને કરીના કપૂર સ્ટેડિયમની શાન વધારશે. સિતારાઓની પોતાની ટીમને પ્રોત્સાહન આપવા હાજરી આપશેISPLમાં કુલ 8 ટીમો મેદાનમાં ઉતરી છે, જેમના માલિકો બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો છે. ટુર્નામેન્ટની શરૂઆતથી જ અનેક મોટા નામો સુરતના મહેમાન બની ચૂક્યા છે. જેમાં શહેનશાહ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અજય દેવગન, દક્ષિણ ભારતના સુપરસ્ટાર સૂર્યા અને રામચરણ તેમજ અર્પિતા ખાનનો સમાવેશ થાય છે. સુરત બન્યું સ્પોર્ટ્સ હબછેલ્લા કેટલાક સમયથી સુરત રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ્સનું કેન્દ્ર બની રહ્યું છે. ISPL જેવી લીગના કારણે સ્થાનિક પ્રતિભાઓને મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે, અને તેમાં પણ જ્યારે બોલિવૂડ સેલિબ્રિટી જેવા દિગ્ગજો જોડાય છે, ત્યારે આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા અને ભવ્યતા અનેકગણી વધી જાય છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:14 pm

બાંન્દ્રા-ભાવનગર ટ્રેનમાં લંડનની વૃદ્ધ મહિલાનું પર્સ ચોરાયું:300 પાઉન્ડ અને 22000 રોકડા લઈને ચોર ફરાર, ધોળા રેલવે પોલીસે ગુનો નોંધ્યો

લંડન નિવાસી 73 વર્ષીય મહિલાનું પાલીતાણા જતા ટ્રેનમાં પર્સ ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલા બાંદ્રા-ભાવનગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન ટોઇલેટ જઈ પરત ફરતા સીટ નીચે મુકેલું પર્સ ગાયબ હતું.પર્સમાં પાસપોર્ટ, OCI કાર્ડ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને રોકડ રકમ હતી. આ ઘટના અંગે ધોળા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સામાન તથા પર્સ સીટ નીચે મુક્યું ને હતુંલંડનના રહેવાસી સુશીલા રાયચંદભાઈ શાહ ઉંમર વર્ષ 73એ 26 જાન્યુઆરીના રોજ ધોળા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધ મહિલાને પાલીતાણા જૈન તીર્થ ખાતે દર્શન કરવા જવાનું હોવાથી 23 જાન્યુઆરીના રોજ લંડનના હીથ્રો એરપોર્ટથી હવાઈ મુસાફરી કરી 24 જાન્યુઆરીના 8.20 વાગ્યે મુંબઈ એરપોર્ટ ખાતે પહોચ્યા હતાં. ત્યારબાદ 25 જાન્યુઆરીના 7.15 વાગ્યે બાંન્દ્રા રેલ્વે સ્ટેશનથી બાંન્દ્રા-ભાવનગર ટ્રેનમાં પાલીતાણા જવા નીકળ્યા અને સામાન તથા પર્સ સીટ નીચે મુક્યું હતું. ટોઇલેટમા ગયા ને પર્સ ગાયબમુસાફરી કરી આવતા હતા તે દરમ્યાન 26 જાન્યુઆરીના 5.50થી 6.15 વાગ્યાની વચ્ચે ટોઇલેટમા ફ્રેશ થવા ગયા અને ફ્રેશ થઈને પરત આવતા બ્લેક કલરનું પર્સ જોવા મળ્યું નહીં, જે પર્સની આજુબાજુ તપાસ કરતા તેમજ આસપાસના મુસાફરોને પુછપરછ કરતા મળ્યું નહોંતું. 300 બ્રિટિશ પાઉન્ડ અને 22,000 રોકડા સાથે પર્સ ચોરીને ફરારતેથી જે પર્સની અંદર સુશીલા શાહ નામનો પાસપોર્ટ જે ભારતીય એમ્બેસી લંડન દ્વારા ઇશ્યુ થયો છે. પ્રવાસી ભારતીય નાગરિક કાર્ડ OCI કાર્ડ, જુનો પાસપોર્ટ , barclaycard (ક્રેડીટ કાર્ડ), netwest card (બીટ કાર્ડ), 300 બ્રિટિશ પાઉન્ડ અને 22,000 રોકડા હતાં. જે બ્લેક કલરનું પર્સ કોઇ અજાણ્યો શખ્સ ગેરહાજરીનો લાભ લઈ ચોરી કરીને રફૂચક્કર થઈ ગયો હતો. ગુનો નોંધાયોજે અંગે ધોળા રેલવે પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે અજણાયા શખ્સ વિરુદ્ધ BNS 305(C) કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:11 pm

પ્રયાગરાજમાં અવિમુક્તેશ્વરાનંદને ગુજરાતના પૂર્વ CM મળ્યા:શંકરસિંહ વાઘેલાએ શંકરાચાર્યની પ્રશંસા સાથે ધર્મ-સંસ્કૃતિના રક્ષણના સંઘર્ષમાં પોતાનું સમર્થન આપ્યું

પ્રયાગરાજમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન વાઘેલાએ સનાતન પરંપરાની રક્ષા, ધર્મ જાગરણ અને ગૌહત્યાના સંપૂર્ણ પ્રતિબંધ માટે શંકરાચાર્યની નિર્ભીક ભૂમિકાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી અને ધર્મ-સંસ્કૃતિના રક્ષણના સંઘર્ષમાં પોતાનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યના અપમાનને લઈને મોટો વહીવટી અને રાજકીય વિવાદ ઊભો થયો છે. રાજીનામાના પત્રમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો સાથેની મારપીટનો ઉલ્લેખવિવાદની શરૂઆત બરેલીમાં થઈ હતી. જ્યાં સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ ગણતંત્ર દિવસના રોજ રાજીનામું આપીને ખડભળાટ મચાવ્યો હતો. અલંકાર અગ્નિહોત્રીએ પોતાના રાજીનામાના પત્રમાં UGCના નવા કાયદા તેમજ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો સાથે થયેલી મારપીટની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ મામલાને શંકરાચાર્યના અપમાન સાથે જોડીને ગંભીર આક્ષેપો કર્યા હતા. ડીએમ આવાસમાં 45 મિનિટ સુધી બંધક બનાવ્યારાજીનામા બાદ સાંજે સાડા સાત વાગ્યે અલંકાર અગ્નિહોત્રી બરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ સિંહને મળવા તેમના આવાસ પર પહોંચ્યા હતા. ત્યારબાદ બહાર આવી તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને ડીએમ આવાસમાં અંદાજે 45 મિનિટ સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા અને SSPના હસ્તક્ષેપ બાદ જ તેમને છોડવામાં આવ્યા. આ નિવેદનથી વહીવટી તંત્રમાં પણ ચર્ચા ગરમાઈ હતી. 'આખો સનાતની સમાજ તેમના નિર્ણયથી પ્રસન્ન'મામલો તીવ્ર બનતા રાજ્ય શાસને અલંકાર અગ્નિહોત્રીને સસ્પેન્ડ કરી દીધા છે અને સમગ્ર ઘટનાની તપાસ કમિશનરને સોંપી છે. સાથે જ તેમને શામલી જિલ્લામાં અટેચ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મોડી રાત્રે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ અલંકાર અગ્નિહોત્રી સાથે ફોન પર વાત કરી હતી અને જણાવ્યું હતું કે આખો સનાતની સમાજ તેમના નિર્ણયથી પ્રસન્ન છે તથા ધર્મના ક્ષેત્રમાં તેમને સરકારના પદ કરતાં પણ મોટું સ્થાન મળશે. ભગવાન બજરંગબલીની તસવીર લગાવવાના મુદ્દે ચર્ચામાં રહ્યા હતાઉલ્લેખનીય છે કે, કાનપુરના રહેવાસી અને બ્રાહ્મણ સમાજમાંથી આવતા અલંકાર અગ્નિહોત્રીએ 2019માં PCS અધિકારી તરીકે 15મો રેન્ક મેળવી સફળતા મેળવી હતી. તેઓ અગાઉ પોતાના કાર્યાલયમાં ભગવાન બજરંગબલીની તસવીર લગાવવાના મુદ્દે પણ ચર્ચામાં રહ્યા હતા. હાલ આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે અને તપાસના પરિણામો બાદ વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:05 pm

નવસારીના બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળમાં જોડાયા:પાંચ દિવસના કામકાજના સપ્તાહની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

દેશભરના આઠ લાખ બેંક કર્મચારીઓ આજે પાંચ દિવસીય કાર્ય સપ્તાહ અને અન્ય પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતમાં પણ 15,000 બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે, જેના કારણે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના મોટા શહેરોમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. નવસારીમાં પણ આ હડતાળની અસર જોવા મળી હતી. નવસારીના રામ મંદિર ખાતે આવેલી બેંક ઓફ બરોડાના કર્મચારીઓ પોતાના હક માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વર્ષ 2015થી પાંચ દિવસના કામકાજના સપ્તાહની માંગણી ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નક્કર નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. બેંક કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જો સરકાર પાંચ દિવસનું કાર્ય સપ્તાહ મંજૂર કરે તો તેઓ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર છે. તેમણે ખાતરી આપી હતી કે, શનિ-રવિની રજાના કારણે ગ્રાહકોને કોઈ અસર પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, શનિ-રવિ અને 26મી જાન્યુઆરીની રજા બાદ આજે સતત ચોથા દિવસે બેંકો બંધ રહેતાં ચેક ક્લિયરન્સ અને રોકડ વ્યવહારો અટવાઈ ગયા છે. ચાર દિવસ સુધી બેંકો બંધ રહેવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 5:01 pm

મંગલ નવકાર મહેક ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી:શિક્ષણ, વ્યસનમુક્તિ, સ્વચ્છતા અને દેશભક્તિના સંદેશ સાથે કાર્યક્રમો યોજાયા

મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી સેવા, સંસ્કાર અને દેશભક્તિના સંદેશ સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત બે મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા. સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી ભુદરપુરા વિસ્તારમાં આવેલા હેમ મહેક બાળ સંસ્કાર કેન્દ્ર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 72 બાળકોને દફતર અને સંપૂર્ણ સ્ટેશનરીનું વિતરણ કરીને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, સાંજે 3:00 વાગ્યે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ગોપાલ આવાસ ખાતે વ્યસનમુક્તિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બાળકોને રાષ્ટ્રધ્વજ, વ્યસનમુક્તિ અને સ્વચ્છતા અભિયાનના સ્લોગનવાળા બોર્ડ આપવામાં આવ્યા હતા. બાળકો દ્વારા દેશભક્તિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સમાપ્ત થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં નાના બાળકોએ પ્રેરણાદાયક વક્તવ્ય, દેશભક્તિ ગીતો પર નૃત્ય અને વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ આપી હતી. કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોમાંથી પ્રથમ પાંચ વિજેતાઓને વિશિષ્ટ ઇનામો અપાયા હતા. વક્તવ્ય સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર બાળકોને ગિફ્ટ્સ આપવામાં આવી હતી, જ્યારે ભાગ લેનાર દરેક બાળકને રૂ. 25નું આશ્વાસન ઇનામ મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ડોક્ટર ભારદ્વાજનંદગીરી મહંત શ્રી પંચ દશનામ જુના અખાડા, રામભક્ત અનુપસિંહ રાજપુત, યોગાચાર્ય અભિષેકભાઈ પાઠક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના મેયર મીનાબેન પટેલ દ્વારા બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સંસ્થા તરફથી સ્ટેશનરી અપાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન લગભગ 200 બાળકોને પ્રતિ બાળક આશરે રૂ. 500ની ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી માત્ર ઔપચારિક ન રહેતા, સેવા, સંસ્કાર, શિક્ષણ, સ્વચ્છતા અને દેશભક્તિના સંદેશ સાથે સમાજ માટે પ્રેરણારૂપ બની હતી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:55 pm

શ્રી સદન-17 સોસાયટીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:કાઉન્સિલર હિમાંશુભાઈ વાળાએ ધ્વજવંદન કર્યું

અમદાવાદની શ્રી સદન-17 સોસાયટીમાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર હિમાંશુભાઈ વાળાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મ્યુનિસિપલ કાઉન્સિલર મેહુલભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાઉન્સિલરોએ પોતાના સંબોધનમાં પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવી દેશના વિકાસમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે, સોસાયટીના સભ્યો માટે આયોજિત 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-૨૦૨૬' માં મેહુલભાઈ શાહના સહયોગ બદલ તેમનું સન્માન કરાયું હતું. ધ્વજવંદન પછી, સોસાયટીના બાળકોએ તેમની પ્રતિભાનું પ્રદર્શન કર્યું. બાળકોએ પ્રેરણાદાયી વક્તવ્યો, દેશભક્તિ ગીતો અને નૃત્યો રજૂ કર્યા હતા. ઉજવણીના ભાગરૂપે, તમામ વયજૂથના સભ્યો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોથી લઈને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમના અંતે સોસાયટીના સભ્યો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી સદન-17ના સભ્યોએ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો, જેમાં સોસાયટીના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:52 pm

પત્ની પિયર ગઈ ને પતિએ ગળેફાંસો ખાધો:ન્યુ મગદલ્લામાં રહેતો યુવક એમેઝોન ડીલરશીપ ધરાવતો હતો; આત્મહત્યાનું કારણ અકબંધ

સુરતના ન્યુ મગદલ્લા વિસ્તારમાં રહેતા અને એમેઝોનની ડીલરશીપ સાથે સંકળાયેલા 35 વર્ષીય યુવકે પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યુવક પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો હતો, પરંતુ અચાનક ભરેલા આ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પત્ની પિયર ગઈ ને પતિએ ગળેફાંસો ખાધોમૃતકની ઓળખ કિરીટ દીપક પટેલ તરીકે થઈ છે, જે ન્યુ મગદલ્લામાં સરસ્વતી વિદ્યાભવનની પાછળ રહેતા હતા. કિરીટભાઈ વ્યવસાયે એમેઝોનની ડીલરશીપ ધરાવતા હતા અને ઘરેથી જ ડિલિવરીનું સંચાલન કરતા હતા. પરિવાર પર આભ તૂટી પડ્યુંકિરીટભાઈની પત્ની હાલ ગર્ભવતી છે. તેમની પ્રથમ ડિલિવરી હોવાથી તેઓ છેલ્લા દોઢ-બે મહિનાથી પોતાના પિયરે રહેવા ગયા હતા. ઘરમાં જ્યારે ખુશીના પ્રસંગની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે જ કિરીટભાઈએ આવું અંતિમ પગલું ભરી લેતા ગર્ભવતી પત્ની અને વૃદ્ધ માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. પોતાના બેડરૂમમાં ફાંસો ખાધોકિરીટ પટેલે પોતાના બેડરૂમમાં ફાંસો ખાધો, ત્યારે આસપાસના લોકોને કે પરિવારને કોઈ શંકા ગઈ નહોતી. જોકે, 26 જાન્યુઆરી સોમવારે મોડી સાંજે ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું કારણ અકબંધપોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ કે ચોક્કસ કારણ મળી આવ્યું નથી. કિરીટભાઈએ આર્થિક તંગીને કારણે આવું કર્યું કે કોઈ અંગત માનસિક તાણને લીધે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પત્નીની ગેરહાજરીમાં લેવાયેલા આ નિર્ણય પાછળના રહસ્યને ઉકેલવા પોલીસ હવે પરિવારના સભ્યો અને મિત્રોની પૂછપરછ કરશે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો35 વર્ષની નાની ઉંમરે અને જીવનના એક મહત્વપૂર્ણ તબક્કે (પિતા બનવાના સમયે) કિરીટ પટેલે લીધેલા આ આત્યંતિક પગલાથી ન્યુ મગદલ્લા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જે યુવક સાંજ સુધી પોતાની કામગીરીમાં વ્યસ્ત હતો, તેણે અચાનક જ મોતના માર્ગે જવાનું કેમ પસંદ કર્યું તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. હાલમાં તો ઉમરા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:47 pm

પાટણમાં રાવળ સમાજની પદયાત્રાનું કોંગ્રેસે સ્વાગત કર્યું:બાલીસણાથી મેલડી માતા મંદિરે જતા યાત્રિકોનું સન્માન

પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાલીસણાથી સરસ્વતી બેરેજ સ્થિત મેલડી માતાના મંદિરે જઈ રહેલા રાવળ સમાજના પદયાત્રા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમ પાટણની નવજીવન ચોકડી ખાતે યોજાયો હતો. રાવળ સમાજ દ્વારા પાટણ જિલ્લાના બાલીસણાથી આ પદયાત્રા સંઘનું આયોજન કરાયું હતું. આ યાત્રા સરસ્વતી બેરેજ નજીક આવેલા મેલડી માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહી હતી. પદયાત્રા સંઘ પાટણ શહેરની નવજીવન ચોકડી પાસેથી પસાર થતા, કોંગ્રેસ સમિતિના સભ્યોએ યાત્રિકોને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને રાવળ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:43 pm

ધનસુરામાં હાઇવે ક્રોસ કરતાં યુવકને કારે ટક્કર મારી:શીતકેન્દ્ર પાસે અકસ્માત, CCTV ફૂટેજ સામે આવ્યા

અરવલ્લી જિલ્લાના ધનસુરા-બુટાલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધનસુરા શીતકેન્દ્ર પાસે રસ્તો ઓળંગતી વખતે એક યુવક પુરપાટ ઝડપે આવતી કારની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈ પણના રુંવાડા ઉભા થઈ જાય તેમ છે. કેવી રીતે સર્જાયો અકસ્માત?મળતી માહિતી મુજબ, ધનસુરાના બુટાલ વિસ્તારમાં આવેલા શીતકેન્દ્ર પાસે એક રાહદારી યુવક હાઈવે ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાઈવે પર વાહનોની અવરજવર ધમધમતી હતી, તેવામાં એક કાર અત્યંત સ્પીડમાં આવી રહી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવક રસ્તો ક્રોસ કરવા માટે અડધે સુધી પહોંચી ગયો હતો. જોકે, સામેથી આવતી કાર જોઈને તે ડરી ગયો હતો અને પાછો ફરવા માટે વળ્યો હતો. બરાબર તે જ સમયે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અથવા બ્રેક મારવા છતાં કાર યુવક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ફંગોળાઈને દૂર જઈ પડ્યો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધનસુરા સીએચસી (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની પ્રાથમિક સારવાર હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ હાઈવે પર વાહનો બેફામ ગતિએ દોડતા હોય છે. ઓવરસ્પીડના કારણે વાહનચાલકો કટોકટીના સમયે વાહન પર કાબૂ રાખી શકતા નથી, જેના કારણે આવા ગંભીર અકસ્માતો સર્જાય છે. હાલમાં આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને હાઈવે ક્રોસ કરતી વખતે વધુ સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:42 pm

વેરાવળના ઈશ્વરીયા ગામે બે સિંહણોના આંટાફેરા, CCTV:રાત્રે વાછરડાનું મારણ કર્યુ; ગ્રામજનોમાં ભય, વન વિભાગ સક્રિય

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે બે સિંહણોએ ગતરાત્રિએ ગામ નજીક એક વાછરડાનું મારણ કર્યું હતું. ગામની ગલીઓમાં આ સિંહણોની લટાર જોવા મળી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સિંહણો ગામમાં ફરતી સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને રાત્રિના સમયે ગ્રામજનો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ગામની આસપાસ વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે, જે પશુધન અને માનવજીવન બંને માટે જોખમી બની છે. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. લોકોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત સ્થળે બાંધવા અપીલ કરવામાં આવી છે. સિંહણોની અવરજવર પર નજર રાખવા માટે વોચ ગોઠવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઈશ્વરીયા ગામે બનેલી આ ઘટના માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષને ફરી પ્રકાશમાં લાવે છે. ગ્રામજનો વન વિભાગ પાસેથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:33 pm

રાજકીય દબાણ હેઠળ મતદારયાદીમાંથી નામ રદ્દ થયાનો આપનો આક્ષેપ:જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર, AAP શહેર પ્રમુખે કહ્યું, મતદારના નામ ખોટી રીતે રદ્દ કરવાના પ્રયાસો

S.I.R. પ્રક્રિયા હેઠળ મતદારોને હેરાનગતિ બંધ કરવા બાબતે સુરત ખાતે આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ફોર્મ નં. 7ના દુરુપયોગ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મતદારયાદીમાંથી નામ રદ્દ કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા જરૂરી છે. મતદારના નામ ખોટી રીતે રદ્દ કરવાના પ્રયાસો લોકશાહી માટે ખતરો, મતદારોને હેરાન કરતી નોટિસો પર તાત્કાલિક રોક લગાવવા માંગ કરવામાં આવી છે. રાજકીય દબાણ હેઠળ નામ રદ્દ થશે તો ચલાવી લેવામાં નહીં આવે. નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા માગSIR પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘીને આવેદન પત્ર આપ્યું હતુ. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી S.I.R. (Special Intensive Revision) પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિસ્તારોમાં મતદારોને અયોગ્ય રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. ‘સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પંચ પ્રત્યે અવિશ્વાસ પેદા’આ મુદ્દે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયા બાદ અમુક લોકો રાજકીય હેતુસર ફોર્મ નંબર–7 ભરીને અનેક નિર્દોષ મતદારોના નામ તેમની જાણ બહાર મતદારયાદીમાંથી રદ્દ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ઘાતક છે. મતદારની ઉંમર અને તેમના માતા-પિતાની ઉંમર વચ્ચે તફાવત હોવાનું કારણ દર્શાવી વારંવાર “લોજીકલી” નોટિસ પાઠવી મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે. સરકારી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છતાં આવી નોટિસો મોકલવી સંપૂર્ણપણે અયોગ્ય છે અને સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પંચ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. ‘મતદારને ઓછામાં ઓછા ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવે’તેને વધુમાં કહ્યું કે, અમારી સ્પષ્ટ માંગ છે કે ફોર્મ નંબર–7 મુજબ નામ રદ્દ કરવાની કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત મતદારને ઓછામાં ઓછા ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવે, તેમના ઘરે જઈ સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે. ‘મતદારનું નામ તેની જાણ બહાર ખોટી રીતે રદ્દ કરવું એ ગંભીર ગુનો’સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયાની જાણ તમામ રાજકીય પક્ષના BLA-1 અને BLA-2 ને ફરજિયાત આપવામાં આવે. આ ઉપરાંત, મતદાર જે સોસાયટીમાં રહે છે ત્યાંના ઓછામાં ઓછા પાંચ રહેવાસીઓની સહી સાથે પંચનામું કર્યા બાદ જ નામ રદ્દ કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવે. કોઈ પણ મતદારનું નામ તેની જાણ બહાર ખોટી રીતે રદ્દ કરવું એ Representation of the People Act, 1950 તથા ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓનો ગંભીર ભંગ છે. ‘મતદારોના નામ ઉડાડવાના પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરો’તેને વધુમાં કહ્યું કે, અમે ચૂંટણી તંત્રને માંગ કરીએ છીએ કે ગેરઇરાદાપૂર્વક ફોર્મ નંબર–7 ભરી મતદારોના નામ ઉડાડવાના પ્રયાસ કરનાર તત્ત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો રાજકીય દબાણ હેઠળ કોઈપણ મતદારના નામ ખોટી રીતે રદ્દ કરવામાં આવશે તો તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. લોકશાહીના પાયા સમાન મતાધિકારની રક્ષા કરવા ચૂંટણી તંત્ર પોતાની નૈતિક અને સંવિધાનિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે એવી અમારી દ્રઢ માંગ અને અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:30 pm

156 કરોડ વિદ્યાર્થીઓ-સ્કૂલો પાછળ વપરાશે, રમત-ગમતના કોચિંગ માટે 10 કરોડ:AMC સ્કૂલબોર્ડનું 2026-27નું 1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, મ્યુઝિક માટે જાપાનની સંસ્થા સાથે MOU થશે

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણી ફંડનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 1200 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 1143 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે આ વખતે તેમાં વધારા સાથે 20મી વખત શાસનાધિકારી એલ.ડી.દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રમતગમત માટે તૈયાર કરવા માટે ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષના બજેટમાં 57 કરોડનો વધારો2026-27 માટે પ્રાથમિક શિક્ષણ સમિતિનું 1200 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 87 ટકા એટલે કે 1044 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વિકાસ અને શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 10 ટકા એટલે 128 કરોડ અને સ્કૂલ અને માળખાકીય સુવિધાઓ પાછળ 2 ટકા એટલે 26 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ગયા વર્ષે 1143 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાંથી 95 ટકા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ નગર પ્રાથમિક શાસનાધિકારીએ કર્યો છે. નવિન 34 સ્કૂલ બનાવવાનું આયોજનસ્કૂલ બોર્ડની સ્થાપનાની શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન શતાબ્દીની શ્રેષ્ઠ 100 અનુપમ સ્કૂલો અને સદીના સિતારા 100 શિક્ષકોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેઓને આગામી સમયમાં સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસાર વિદ્યાર્થીઓને શિખવાની વધુમાં વધુ તકો પ્રાપ્ત થાય તે હેતુથી શતાબ્દી વર્ષ નિમિત્તે મ્યુનિ. સ્કૂલોના બાળકો માટે શતાબ્દી શિષ્યવૃત્તિ, રમત-ગમત ક્ષેત્રે પ્રશિક્ષણ, વાંચન સમૃદ્ધિ માટે લાઈબ્રેરીનો વિકાસ જેવા નવિન પ્રકલ્પો વિદ્યાર્થીઓના સર્વાગીણ વિકાસ માટે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી નવિન વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુથી નવિન 34 સ્કૂલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષના બજેટના 95% કામ પૂર્ણ: એલ.ડી. દેસાઈશાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શતાબ્દી પછીના વર્ષમાં 1200 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટનો મહત્તમ ભાગ પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે. 156 કરોડો રૂપિયા વિદ્યાર્થીઓ અને સ્કૂલો માટે ફાળવવામાં આવ્યા છે. ગત વર્ષના બજેટના 95 ટકા કામ પૂર્ણ થઈ ગયા છે. બાકીના કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ બજેટમાં કેન્દ્ર અને રાજ્ય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માળખાગત સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શતાબ્દી વર્ષ અંતર્ગત 453 શાળાઓમાંથી શ્રેષ્ટ શાળાઓને એવોર્ડ આપવામાં આવશે. ‘કોમનવેલ્થને લઈ વિદ્યાર્થીઓને રમત-ગમત માટે કોચિંગ’વધુમાં એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમારું ધ્યાન 353 સ્કૂલો સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. બાકીની સ્કૂલો પણ શ્રેષ્ઠ સ્કૂલો બને તેવો અમારો પ્રયાસ છે. આ બજેટમાં કોમનવેલ્થ અને ઓલમ્પિક્સની ગેમ અમદાવાદમાં યોજાવવા જઈ રહી છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 56 જેટલી રમતમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને રમતગમત માટે કોચિંગ આપવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ આપવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ‘માળખાગત સુવિધાઓ માટે ખાસ પ્રયાસ કરાશે’વધુમાં એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, જુદી-જુદી 453 જેટલી લાયબ્રેરી છે. 50 લાયબ્રેરી સ્કૂલોમાં 20 લાખમાં ખર્ચે અધતન બનાવવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખેલ મહાકુંભ અને મ્યુઝિક માટે જાપાનની સંસ્થા સાથે MOU પણ કરવામાં આવશે. અમદાવાદની મોટા ભાગની શાળાઓ સ્માર્ટ સ્કૂલ બની રહી છે. મુખ્યમંત્રી લક્ષી જે યોજનાઓ છે, તેમાં વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈમાં વધારો થયો છે. તેમજ પણ વધારે સુવિધાઓ પૂરી પાડવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. માળખાગત સુવિધાઓ માટે ખાસ પ્રયાસ કરવામાં આવશે. અન્ય શાળાઓ પણ સ્માર્ટ શાળાઓ બને તેવી કામગીરી કરવામાં આવશે. આ વર્ષે બજેટમાં શું ખાસ જોગવાઈ કરવામાં આવી છે. રમતગમત માટે તૈયારી કાર્યક્રમવિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરવા માટે રમત- ગમત એ એક મહત્વનું ક્ષેત્ર છે. મ્યુનિ. સ્કૂલોના બાળકોને વાય ઇન્ડિયા, ખેલ-મહાકુંભ, સ્કૂલ બોર્ડ દ્વારા આયોજીત રમતોત્સવ તથા વિવિધ રમત- ગમત એસોસિએશન સાથે મળા બાળકો માટેની રમત-ગમતની હરિફાઈનું આયોજન કરવામાં આવશે. હરિફાઈના અંતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને રમત- ગમત માટેની જરૂરી સાધન-સામગ્રી આપવામાં આવશે તથા તેમના સવિશેષ પ્રશિક્ષણ માટેનું આયોજન કરવામાં આવશે. રમત-ગમત માટેના મેદાનો ડેવલોપ કરી વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તે મુજબનું આયોજન કરાશે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નારણપુરા, મેમ્કો સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા વવાલ સ્પોર્ટસ કોપ્લેક્ષ ખાતે વિદ્યાર્થીઓને વિવિધ રમતોની તાલીમ આપી પ્રશિક્ષિત કરવામાં આવશે. શતાબ્દી શિષ્યવૃત્તિ યોજનાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની સ્કૂલોમાં બાલવાટિકાથી ધો.8 સુધીનું પ્રારંભિક શિક્ષણ (Elementary Education) માત્રને માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યું હોય અને ધો. 6થી 8 મા વાર્ષિક પરિણામમાં સરેરાશ 80% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે મુજબની આવક મર્યાદા ધરાવતા તેમજ ધી, -12 (કોઇપણ માધ્યમમાં) પછી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાએથી લેવાતી કોમન એન્ટ્રા ટેસ્ટમાં ઉર્તીણ થયેલા પૈકી જે વિદ્યાર્થીઓએ ભારતની Uac માન્ય સરકારી, અર્ધ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર સંસ્થાઓમાં સ્નાતકના અભ્યાસ માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસની તકો પ્રાપ્ત કરી શકશે. શતાબ્દી સ્કૂલ બોર્ડ ઉજવણીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ શતાબ્દી મહોત્સવ 2.0 અંતર્ગત મ્યુનિ. સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કૂલોમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થી, શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ સ્કૂલોની પસંદગી કરી તેમને એવોર્ડ આપી સન્માનિત કરાશે. 50 મ્યુનિ. સ્કૂલોમાં મિની લાયબ્રેરી બનાવવામાં આવશેરાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને અનુકૂળ મ્યુનિ. સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાહિત્ય, વિજ્ઞાન, કલાના પુસ્તકોનું વાચન કરે તો વાંચે ગુજરાત 2.0ને વેગ મળશે અને મ્યુનિ. સ્કૂલોના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યેની અભિરૂચી કેળવાશે તેઓ સંદર્ભ પુસ્તકોમાંથી જ્ઞાન અર્જીત કરી શકશે. બાળકો વાચન થકી ભવિષ્યમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ સફળતા મેળવી શકશે અને આત્મનિર્ભર બની પોતાની ઓળખ ઉભી કરી શકે તે હેતુથી મ્યુનિ. સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 50 મ્યુનિ. સ્કૂલોમાં મિની લાયબ્રેરી બનાવવામાં આવશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ સ્કૂલ વિકાસ યોજનાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના 100 વર્ષના ઈતિહાસમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી હાલ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી મ્યુનિ. શાળાઓના વિકાસના હેતુથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની માતૃશાળા સાથે જોડવા માટે તેમના બરા તેમની માતૃશાળામાં જેટલી રકમનું દાન કરશે તેટલી રકમ સ્કૂલ બોર્ડ દ્વારા શાળાને ફાળવવામાં આવશે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંકલનથી શાળામાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ પાછળ તેમજ માળખાકીય સુવિધાઓ માટે આ રકમ ખર્ચ કરવામાં આવશે. સ્કૂલ પ્રોગ્રામ ફોર મ્યુઝિકવિદ્યાર્થીઓનો સર્વાગીણ વિકાસ કરવા માટે સંગીત એ એક મહત્વનું ક્ષેત્ર છે. મ્યુનિ. શાળાઓના બાળકોને સંગીત શીખે અને આવનારા સમયમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તે માટે સ્કૂલ બોર્ડ દ્વારા સંગીત ક્ષેત્રે કામ કરતી અલગ - અલગ સંસ્થાઓના સહયોગથી શાળાઓમાં સંગીત વિશારદ શિક્ષકો દ્વારા બાળકોને સંગીત શીખવાડવામાં આવશે. બાળકોને સંગીત માટે જાપાન ની સંસ્થા સાથે MOU કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:28 pm

નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવનાર ઝડપાયા:હરિયાણાથી યશ બેંકના સેલ્સ ઓફીસર સહિત બે શખ્સોની પોલીસે કરી ધરપકડ, બેંક કર્મીએ શંકર રાજપુતના નામે એકાઉન્ટ ખોલી ફ્રોડના 1 કરોડ મેળવ્યાં હતાં

• અત્યાર સુધી કુલ 16 આરોપીની પોલીસે કરી છે ધરપકડ રાજકોટના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે. હરિયાણાથી યશ બેંકના સેલ્સ ઓફીસર સહિત બે શખ્સોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી બેંક કર્મીએ શંકર રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલી ફ્રોડના રૂપિયા 1 કરોડ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ રૂ.1.14 કરોડ પડાવી લેતાં ચકચાર મચી જવા હતી. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધાવી હતી જેમાં કુરબાનભાઈ બદામી (ઉ.વ.76)ને તમારો ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઇન ગેંમીંગ, સાયબર આંતકવાદમાં થયેલ છે કહીં ફસાવી સાયબર ગઠિયાઓએ રૂપીયા પડાવ્યાં હતા. આ કેસમાં પોલીસે અગાઉ 14 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ બે આરોપી શંકર સોહનલાલ રાજપુત (ઉં.વ.27) અને શુભમ રઘુવીરસિંધ (ઉં.વ.30)ને હરીયાણાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી શુભમ યસ બેંકમા સેલ્સ ઓફીસર તરીકે ફરજ બજાવતો હતો જેણે સહ આરોપી શંકર રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું જે બેંક એકાઉન્ટમા ફરીયાદી સાથે થયેલ સાયબર ફ્રોડના કૂલ રૂ.1 કરોડ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટના એરપોર્ટ રોડ પર એકજા નગરમાં રહેતાં 76 વર્ષીય કુરબાનભાઈ બદામીને ’હું જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલુ છુ, તમારો ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઇન ગેંમીંગ, સાયબર આંતકવાદમાં થયેલ છે કહીં ફસાવ્યાં હતાં. બાદમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી તમારા આધાર કાર્ડ પરથી અલગ અલગ રાજ્યમાં ખાતા ખુલેલ છે, મનીલોડરીંગ, સાયબર આંતકવાદમાં તમારૂ આધાર કાર્ડ વપરાયેલ છે. તમને 10 વર્ષથી આજીવન કેદની શિક્ષા થશે કહીં ડિજિટલ એરેસ્ટ કરી લીધાં હતાં. ઉપરાંત સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના સહી-સિક્કા સાથેના દસ્તાવેજ મોકલી કુલ રૂ.1.14 કરોડ ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. જે અંગે તેઓની કેનેડા સ્થિત પુત્રીને જાણ થતાં ભાંડો ફૂટ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:27 pm

વડોદરામાં 3 દિવસીય BITA એક્સ્પો 2026:પ્રમુખે કહ્યું: 'ઓનલાઈન ફ્રોડ IT ક્ષેત્ર માટે મોટી ચેલેન્જ છે, લોકો સ્થાનિક સ્તરેથી જોઈને ખરીદી કરે તો વધુ સારું છે, આ એક્સ્પોનો ઉદ્દેશ્ય પણ એ

BITA (બરોડા IT એસોસિએશન) દ્વારા હાલ વડોદરા શહેરમાં 26થી 28 જાન્યુઆરી દરમિયાન મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રી એક્સપો ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં MSME કંપનીઓ ભાગ લઈ રહી છે. BITA પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઈન ફ્રોડ એ અત્યારે IT ક્ષેત્ર માટે મોટી ચેલેન્જ છે. ઓનલાઇન ફ્રોડ અત્યારે ઘણા વધી રહ્યા છે. ઓનલાઇન ખરીદીમાં ઘણીવાર છેતરપિંડી થતી હોય છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર જે વસ્તુ બતાવવામાં આવે અને જે વસ્તુ તમારી પાસે આવે તેમાં તફાવત હોઈ શકે છે. તેના બદલે જો લોકો સ્થાનિક સ્તરેથી વસ્તુઓ ખરીદે અને તે જોઈ અને તપાસીને લે, તો તે વધુ સારું રહે છે. આ એક્સ્પોનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે તમે અહીં આવીને રૂબરૂ પ્રોડક્ટ જોઈ શકો. BITA એક્સપોના ચેરમેન ​નિતેશ ગોરસિયાએ જણાવ્યું હતું કે, 'બીટા એક્સપો 2026' એ અમારો 19મો એક્સપો છે. તારીખ 26, 27 અને 28ના રોજ વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. ​આ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે આ એક 'મલ્ટી ઇન્ડસ્ટ્રી એક્સપો' છે. વડોદરાનો પોતાનો આ એવો એક્સપો છે જ્યાં અલગ-અલગ ક્ષેત્રના લોકો પોતાની પ્રોડક્ટ્સ, ટેકનોલોજી અને સર્વિસીસનું પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં IT, સિક્યોરિટી સર્વેલન્સ, રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન, ફાર્મા, ઇન્ડસ્ટ્રિયલ પેઇન્ટ્સ, લેસર કટિંગ અને ફાયર સેફ્ટી જેવા અનેક ક્ષેત્રોની લેટેસ્ટ ટેકનોલોજીનો સંગમ જોવા મળશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઘણી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ શોધવા માટે લોકોએ બીજા શહેરોમાં જવું પડતું હોય છે. પરંતુ અહીં આવવાથી તેમને બધી જ સર્વિસીસ એક જ સ્થળે મળી રહેશે. મુલાકાતીઓ લેટેસ્ટ ટેકનોલોજી વિશે જાણી શકશે અને તેમને બિઝનેસ માટે સારા વેન્ડર્સ પણ મળી રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ એક્સપો PMS (Procurement and Marketing Support) સર્ટિફાઇડ છે, તેથી MSME સેક્ટરના લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને તેમના ઘણા સ્ટોલ્સ અહીં લાગ્યા છે.​MSMEને અહીં આવવાથી લેટેસ્ટ ટેકનોલોજી જાણવા મળશે અને જે પાર્ટિસિપન્ટ્સ છે તેમને બિઝનેસના નવા ગ્રાહકો મળશે, જેનાથી તેમના ધંધામાં પ્રગતિ થશે. આજે એક્સપોનો બીજો દિવસ છે અને ગઈકાલે કોર્પોરેટ તેમજ મિડ-સેગમેન્ટમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા. એક્ઝિબિટર્સ પણ આ પ્રતિસાદથી ખૂબ જ ખુશ છે. BITA ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, બીટા આઈટી એક્સ્પો એ એક 'મલ્ટી ઇન્ડસ્ટ્રીઝ એક્સ્પો' છે. જેમાં આઈટી (IT), સર્વેલન્સ, પાવર સેક્ટર, ઇલેક્ટ્રિક, મિકેનિકલ અને ઓટોમેશન જેવી તમામ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહી છે. વડોદરાના રહેવાસીઓ આ એક્સ્પોનો લાભ લઈ રહ્યા છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉદ્યોગો, એટલે કે વડોદરા અને તેની આસપાસના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને વડોદરાવાસીઓને નવી ટેકનોલોજી તથા નવા ઉપકરણો વિશે માહિતગાર કરવાનો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે સરકાર પણ MSME ક્ષેત્રને ખૂબ સપોર્ટ કરી રહી છે. અહીં ઘણા બધા MSME સ્ટોલ્સ પણ લાગેલા છે. સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા સારું એવું ફાઇનાન્શિયલ ડિસ્કાઉન્ટ અને સબસિડી પણ આપવામાં આવી રહી છે. અમદાવાદ MSMEના DFO રૂપેશ કુમાર મૌર્યએ જણાવ્યું હતું કે, આ જે ટેકનોલોજી ઈવેન્ટ યોજાઈ રહી છે, તેને ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીનો મુખ્ય ફાયદો એ છે કે જે MSME એકમોએ અહીં પોતાના સ્ટોલ લગાવ્યા છે, તેમને અમે સબસિડી પૂરી પાડીએ છીએ. ​આનાથી આ ઉદ્યોગોને અનેક ફાયદા થાય છે, જેમ કે, ​તેમની બજારમાં ઓળખ વધે છે, ​તેમની વિશ્વસનીયતામાં વધારો થાય છે. ​તેમને નવા બજારો શોધવાની તક મળે છે. ​તેમના પ્રદર્શન પાછળ થતો ખર્ચ ભારત સરકાર દ્વારા રિઈમ્બર્સ કરવામાં આવે છે. અહીં અમારી તરફથી 35 થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. અમે આ તમામ 35 સ્ટોલ ધારકોને સબસિડી પૂરી પાડવાના છીએ.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:26 pm

દારૂની હેરાફેરી માટેના કીમિયા પર પોલીસે પાણી ફેરવ્યું:પીકઅપ બોલેરોના ટ્રોલીમાં બૂટલેગરે ચોરખાનું બનાવ્યું, તપાસ કરતા 2 લાખથી વધુનો વિદેશી દારૂ મળ્યો, રાજસ્થાનના શખસની ધરપકડ

અમદાવાદમાં પ્રોહીબિશન કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસ દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. પીકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા શખ્સનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસને બાતમી મળી હતી કે, ચાણક્યપુરી માતા પાર્વતી સ્કૂલની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પીકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરેલો છે. બાતમીના આધારે પોલીસે રેડ કરતા મહેન્દ્રા પીકઅપ બોલેરો ગાડીની ટ્રોલીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો છે. સોલા હાઈકોર્ટ પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ અને રાજસ્થાનના નરસિંહરામ દેવાસીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પીકઅપ બોલેરોમાં દારૂ છુપાવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા વાહન ચેકિંગની અને પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા શખ્સો પર વોચ રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સોલા હાઈકોર્ટ પોલીસના પોલીસ ઇન્સ્ટેક્ટરને બાતમી મળી હતી કે, પીકપ બોલેરો ગાડીની ટ્રોલીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેથી પોલીસે વધુ બાતમી એકઠી કરતા એવું જાણવા મળ્યું હતું કે, ચાણક્યપુરી માતા પાર્વતી સ્કૂલની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પીકઅપ બોલેરો ગાડીની ટ્રોલીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ રાખવામાં આવ્યો છે. જેથી સોલા હાઇકોર્ટ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં ખુલ્લા પ્લોટ નજીક થોડે દૂર વાહન રાખી પોલીસે જોતા બાતમી સાચી હોવાનું જાણવા મળ્યું હતું. ગાડી નજીક જોતા શખ્સ પીકઅપ ગાડીના ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો ખુલ્લા પ્લોટમાં એક પીકઅપ ગાડી પડી હતી. જેથી સોલા હાઈકોર્ટ પોલીસમાં કર્મચારીઓએ ગાડી નજીક જોતા શખ્સ મહેન્દ્રા પીકઅપ ગાડીના ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો હતો. પોલીસ સ્ટાફ દ્વારા તેને કાર્ડન કરીને નીચે ઉતારી ગાડીની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગાડીમાં બેઠેલ શખ્સની પૂછપરછ કરતા રાજસ્થાનના સાંચોરનો નરસિંહરામ દેવાસી હોવાનું સામે આવ્યું હતું. ગાડીની ટ્રોલીમાં ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યુંપોલીસે ગાડીમાં તપાસ હાથ ધરી તો પીકઅપ ગાડીની ટ્રોલીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે 2 લાખના વિદેશી દારૂ સહિત કુલ 5 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નરસિંહરામ દેવાસીની ધરપકડ કરી છે. તેમજ દારૂ કોણે મંગાવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:24 pm

વસંતોત્સવમાં હેન્ડીક્રાફ્ટ અને ફુડ-સ્ટોલની 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે:અરજીનું ફોર્મ સાંસ્કૃતિક પ્રવૃતિઓની ઓફિસથી લઈને એપ્લાઈ થશે

ગાંધીનગરમાં ફેબ્રુઆરી માસ દરમિયાન યોજાનાર વસંતોત્સવ-2026ને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ રંગબેરંગી ઉત્સવમાં આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે હેન્ડીક્રાફ્ટ અને ફુડ બજાર વિશેષ આકર્ષણ રહેશે. ઉત્સવ દરમિયાન વિવિધ હેન્ડીક્રાફ્ટ અને ફુડ સ્ટોલ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. અરજીનું ફોર્મ સાંસ્કૃતિક પ્રવૃતિઓની ઓફિસથી લઈને એપ્લાઈ થશેવિભાગ તરફથી બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, હેન્ડીક્રાફ્ટ અને ફુડ સ્ટોલ માટે ઇચ્છુક અરજદારોને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ અરજીનું ફોર્મ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં. 11, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેથી મળી રહેશે. પૂર્ણ વિગતો સાથે ભરીને અરજી તા. 31 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધી કચેરી ખાતે પહોંચાડવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, વસંતોત્સવ દરમિયાન સ્ટોલ ફાળવણી અંગેનો આખરી નિર્ણય યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનરના હસ્તક રહેશે. વસંતોત્સવ-2026માં ભાગ લઈ પોતાના હસ્તકલા અને સ્વાદિષ્ટ વાનગીઓને વિશાળ જનસમૂહ સુધી પહોંચાડવા માટે વેપારીઓ અને હસ્તકલા કલાકારો માટે આ ઉત્તમ તક બની રહેશે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:17 pm

વેરાવળ-સોમનાથમાં 10 દિવસથી નર્મદા પાઇપલાઇન તૂટી:ગટરનું પાણી ભળતાં વિસ્તારો જળબંબાકાર; નગરસેવકો પર ધમકીના આરોપ

વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં છેલ્લા 10 દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. આને કારણે પીવાના પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. તૂટેલી પાઇપલાઇનમાંથી વહેતું પાણી ગટરના પાણી સાથે ભળી જતાં અનેક વિસ્તારો ચોમાસા વિના જ ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ વોર્ડ નંબર 2ની ગુલાબ કોલોનીમાં સર્જાઈ છે, જ્યાં 150થી વધુ રહેણાંક મકાનો આવેલા છે. સોસાયટીમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે, અને નાના બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે કેટલાક નગરસેવકો દ્વારા તેમને ધમકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓએ આ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. આ વિસ્તારના રહેવાસી અમીનાબેન મોઠિયાએ નગરસેવકો પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, અમારી સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે અમારા નગરસેવકો અહીં આવીને અમને ધમકાવી રહ્યા છે. ફારૂકભાઈ કાલવાત અને અયુબભાઈ મોઠિયા સહિતના અન્ય સ્થાનિકોએ પણ પાલિકા તંત્ર અને તેમના વોર્ડના કાઉન્સિલરો પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી પ્રાથમિક સુવિધાઓના અભાવે પ્રજા હેરાન-પરેશાન છે, છતાં ચૂંટાયેલા નગરસેવકો અને પાલિકાના સત્તાધીશો બેફિકર જણાઈ રહ્યા છે. નાગરિકોએ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:16 pm

લીંબડી-રાજકોટ હાઈવે પર ખાનગી બસ પલટી:ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસનો અકસ્માત, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર હડાળા બોર્ડ નજીક એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી રાજકોટ જઈ રહેલી આ ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ સાયલા, ચોટીલા અને ડોળીયાની 108 એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક ઈજાગ્રસ્તોને વધુ ગંભીર ઈજાઓ જણાતા તેમને રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:10 pm

LCB આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સન્માનિત:પ્રજાસત્તાક પર્વે ગુના ઉકેલવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવ્યા

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન પોલીસ બેડાના તેજસ્વી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) શાખાના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સઈદુભાઈને તેમની પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા અને સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે સન્માનિત કરાયા હતા. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેહજીભાઈને તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓ માટે પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. કેહજીભાઈ સઈદુભાઈએ જિલ્લા તેમજ અન્ય જિલ્લાના વણઉકેલાયેલા મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 10 ઘરફોડ ચોરી અને 15 વાહન ચોરીના ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ ઉપરાંત, પ્રોહિબિશનના 13 અને જુગારના 7 જેટલા ગુણવત્તાયુક્ત કેસોમાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી છે. ખાસ કરીને વર્ષોથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવામાં તેમણે કાબેલિયત દાખવી છે.જેમાં 10 થી લઈને 28 વર્ષથી ધાડના ગુનામાં નાસતા ફરતા 4 આરોપીઓ તેમજ 12 વર્ષથી અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીઓ સહિત કુલ 21 રીઢા ગુનેગારોને ખાનગી બાતમીદારોની મદદથી ઝડપી પાડ્યા છે.તેમણે ભારતીય ચલણની રૂ. 1,80,500/- ની કિંમતની બનાવટી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સામે પણ પ્રશંસનીય કામગીરી કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:10 pm

UGCના નવા નિયમો સામે સરદાર પટેલ સેવાદળનો વિરોધ:રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને પત્ર લખી નિયમો પાછા ખેંચવા માંગ કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC દ્વારા જાન્યુઆરી 2026માં જાહેર કરવામાં આવેલા 'ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર' નિયમો સામે સામાજિક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા આ મામલે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં આ નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે. જાતિ આધારિત ભેદભાવ રોકવાના નિયમ સામે શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા વિરોધસેવાદળ દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્ર મુજબ, 15 જાન્યુઆરી 2026ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા આ નિયમો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવાના હેતુથી બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત તમામ યુનિવર્સિટીઓમાં 90 દિવસમાં 'સમાનતા સમિતિ'ની રચના કરવાની જોગવાઈ છે. બંધારણીય રક્ષણને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા નો સંગઠનનો આક્ષેપજોકે, શ્રી સરદાર પટેલ સેવાદળ સંગઠનનો આરોપ છે કે, આ સૂચનામાં માત્ર અમુક ચોક્કસ વર્ગો SC, ST, OBC અને દિવ્યાંગના અધિકારો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્યારે સામાન્ય શ્રેણી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના અધિકારો અને તેમના બંધારણીય રક્ષણને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે. ‘સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ’પત્રમાં જણાવાયું છે કે ભારતનું બંધારણ કલમ 14, 15 અને 21 હેઠળ તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે. UGC ના આ નવા નિયમો એકતરફી અભિગમ ધરાવે છે અને તે સમાન તકના સિદ્ધાંતને નબળો પાડે છે. કોઈપણ સરકારી નિયમનો ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ, પરંતુ આ નિયમોથી શૈક્ષણિક સંસ્થાઓમાં અસંતુલન ઊભું થવાની ભીતિ સેવાઈ રહી છે. સંગઠને નિયમોને રદ કરવા માગ કરી શ્રી સરદાર પટેલ સેવાદળે આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બંધારણના મૂળભૂત માળખા સાથે સુસંગત ન હોય તેવા આ નિયમો શૈક્ષણિક જગતમાં વિષમતા ઊભી કરી શકે છે. આથી રાષ્ટ્રહિત અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ વિવાદાસ્પદ નિયમોને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:09 pm

શહેરા અણિયાદ ચોકડી પાસે ડમ્પરની બ્રેક ફેઈલ:કારને ભારે નુકસાન, બે વ્યક્તિનો આબાદ બચાવ

પંચમહાલ જિલ્લાના શહેરા નજીક અણિયાદ ચોકડી પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની બ્રેક ફેઈલ થતા તે બેકાબૂ બન્યું અને ત્રિપલ અકસ્માતમાં એક કારને ભારે નુકસાન થયું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અણિયાદ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરની અચાનક બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બ્રેક ફેઈલ થતાં ચાલકે ડમ્પર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે તેની આગળ ચાલી રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. ડમ્પરની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ફંગોળાઈને તેની આગળ જઈ રહેલી એક એસટી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 4:07 pm

વાલીઓને લૂંટવાના આક્ષેપ સાથે ઉદગમ શાળા સામે હાઇકોર્ટમાં અરજી:કી સ્ટોન સંસ્થા સ્કૂલમાં ટ્યુશન આપી મબલખ ફી વસૂલે છે, હાઇકોર્ટ: વિશ્વસનીયતા પર શંકા, ખુલાસા સાથે ફરી અરજી કરો

ગુજરાત હાઇકોર્ટમાં 2 અરજદાર દ્વારા અમદાવાદમાં આવેલી પ્રખ્યાત ઉદગમ સ્કૂલ સામે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ શાળામાં કી સ્ટોન નામની સંસ્થા ક્લાસિસ ચલાવીને JEE માટે 90 હજાર રૂપિયા જેટલી ફી ઉઘરાવે છે. શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને શાળાની 1 લાખ ફી ઉપરાંત આ ક્લાસીસની ફી પણ અલગથી ચૂકવવી પડે છે. જે શાળાની ફી જેટલી જ થાય છે, આમ વાલીઓને લૂંટવામાં આવે છે. શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત, છતાં તપાસ કરાઈ નથીઉપરોક્ત બાબત સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ ગ્રામ્યની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં શાળામાં કોઈ તપાસ કરવામાં આવી નથી કે ના શાળા સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે. 'ડબલ ફી શા માટે ઉઘરાવવામાં આવે છે ?'અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, કી સ્ટોન ક્લાસિસ સંસ્થાની ઓફિસ મેમનગર ખાતે આવેલી છે. જ્યાં તેઓએ સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું. જેમાં આ સંસ્થા શાળાની જ હોવાનું તેમનું કહેવું છે. તો પછી ડબલ ફી શા માટે ઉઘરાવવામાં આવે છે ? 'પહેલા અરજદારે CBSE સમક્ષ રજૂઆત કરવી જોઈએ'ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ થતા હાઇકોર્ટે સૌ પ્રથમ પૂછ્યું હતું કે, અરજદારો શું કામ કરે છે ? આ જાહેર હિતની અરજીમાં તેમની વિશ્વસનીયતા શું છે ? જો શાળા કોઈ અયોગ્ય કામ કરે છે તો પહેલા અરજદારે CBSE સમક્ષ રજૂઆત કરવી જોઈએ. અરજદારની સ્ટીંગ ઓપરેશન કર્યાની વાત શંકા ઉપજાવે તેવી છે. NSUIના સભ્ય છે તે વિગત અરજીમાં જણાવી નથીસરકારી વકીલે જણાવ્યું હતું કે, અરજદાર નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા - NSUIના સભ્ય છે. જે બાબત તેમને પોતાની અરજીમાં જણાવી નથી. અરજદારો પોતાને ખેડૂત તેમજ નોકરિયાત તરીકે જણાવે છે. 'તમામ ખુલાસા સાથે ફરી અરજી કરો'આથી ગુજરાત હાઇકોર્ટે અરજદારને કહ્યું હતું કે, કોઈપણ જાહેર હિતની અરજી માટે અરજદારે પહેલા પોતાની વિશ્વાસનીયતા પુરવાર કરવાની હોય છે. નિયમો મુજબ તે ખૂબ જ જરૂરી છે. આ સંદર્ભે અરજદાર વતી એફિડેવિટ ફાઇલ કરવાની વાત કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે તેમને વધારાની કોઈ એફિડેવિટ ફાઇલ ફાઈલ કરવાની મંજૂરી આપી નહોતી. પરંતુ અરજદાર પોતાની તમામ વિગતો સાથે નવી અરજી દાખલ કરી શકશે. આ સાથે જ હાઇકોર્ટે વર્તમાન અરજીનો નિકાલ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:58 pm

કાંકણપુર સ્કૂલમાં 77મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી:ગુજરાત બાળ વિકાસ મંડળના ઉપપ્રમુખ શાંતનુ દેસાઈએ ધ્વજવંદન કર્યું

કાંકણપુર સ્થિત ગુજરાત બાળ વિકાસ મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સી ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત બાળ વિકાસ મંડળ મોરાના ઉપપ્રમુખ શાંતનુ દેસાઈએ ધ્વજવંદન કર્યું. આ સમારોહમાં કાંકણપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોલ, સ્કૂલના સી.ઈ.ઓ. તપનભાઈ પટેલ, ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેરના કોર્ડિનેટર ડૉ. મહેશભાઈ રાઠવા અને પી.એસ.આઈ. પલાસ સહિતના મહાનુભાવો તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોલે વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અને જીવન જીવવાની કળા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. ડૉ. મહેશભાઈ રાઠવાએ સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોના બલિદાન, સંવિધાનનું મહત્વ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વગુરુ બનાવવામાં વિદ્યાર્થીઓની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું. સંસ્થાના સી.ઈ.ઓ. તપનભાઈ પટેલે આઝાદીના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. આ પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ આધારિત નાટક, નૃત્ય, વેશભૂષા, સ્વાગત ગીત અને યોગાસન જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. મોટી સંખ્યામાં વાલીઓ, કાંકણપુર કોલેજની વિદ્યાર્થીનીઓ અને શૈક્ષણિક સ્ટાફની હાજરીમાં આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:55 pm

પદ્મશ્રીના બે દિવસમાં ભાજપના નેતાની હાજી રમકડુંનું નામ કાઢવા અરજી:શાહબુદ્દીન બાદ વધુ એક મુસ્લિમ કલાકારનું અપમાન, મતદારયાદીમાંથી કમી કરવાનો કારસો

સૌરાષ્ટ્ર અને ગુજરાતને દેશ અને વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા શાહબુદ્દીન રાઠોડ બાદ હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. બે દિવસ પહેલા જ હાજી રમકડુંની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેની વચ્ચે જ ભાજપના કોર્પોરેટર દ્વારા ફોર્મ નંબર 7 ભરી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અરજી કરાતા ચકચાર મચી છે. અરજી કરનાર કોર્પોરેટરે કહ્યું- મેં કામગીરીની ચકાસણી કરવા અરજી કરી!જેના દ્વારા અરજી કરવામાં આવી છે તે વોર્ડ નંબર 7 ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ મણવર દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મેં જે અરજી કરી છે તેમાં રાઠોડ હાજી કાસમ નામના વ્યક્તિનું નામ કમી કરવા માટે સાત નંબરનું ફોર્મ ભર્યું છે અને હાજીભાઈ કાસમ એટલે કે હાજી રમકડું નામના વ્યક્તિનો ખોટો દુર ઉપયોગ થતો નથી ને એ મામલે સંપૂર્ણ સચોટતાથી કામગીરી કરવામાં આવે છે કે નહીં તેને લઈને મેં અરજી કરી હતી.(આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:49 pm

નવા વાવ-થરાદ જિલ્લા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા:પાલનપુર કમલમ ખાતે સંગઠન અને પ્રમુખ પદ માટે અભિપ્રાય લેવાયા

બનાસકાંઠાના નવરચિત વાવ-થરાદ જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠન અને જિલ્લા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા પાલનપુર કમલમ ખાતે ચાલી રહી છે. પ્રદેશ ભાજપમાંથી રાજુ ધ્રુવ, ભાનુબેન બાબરિયા અને ગૌતમ શાહ આ સેન્સ પ્રક્રિયા માટે પાલનપુર પહોંચ્યા છે. આ પ્રક્રિયામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિત વાવ-થરાદ જિલ્લાના અનેક ભાજપી આગેવાનો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. દિવસભર ચાલનારી આ સેન્સ પ્રક્રિયામાં સંગઠનના હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખ પદના દાવેદારોના અભિપ્રાયો લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:48 pm

બોટાદમાં મતદાર યાદીમાંથી 1626 નામ રદ:નાગરિકોનો રોષ, પ્રાંત અધિકારી-મામલતદારને રજૂઆત કરાઈ

બોટાદ શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. શહેરમાંથી ૧૬૨૬ નાગરિકોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે નાગરિકોએ તાલુકા સેવાસદન ખાતે પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક જીવિત નાગરિકોના નામ 'મૃત્યુ'નું કારણ દર્શાવીને યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક નાગરિકો નિયમિત રીતે હાજર હોવા છતાં તેમને 'ગેરહાજર' દર્શાવીને તેમના નામ કમી કરવામાં આવ્યા છે. આ ગેરરીતિઓને કારણે નાગરિકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. પોતાના મતાધિકારથી વંચિત થતા નાગરિકોએ મામલતદારને લેખિત અને મૌખિક રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે ભૂલ સુધારીને તેમના નામ મતદાર યાદીમાં પુનઃ સામેલ કરવાની માંગ કરી છે. તેમણે આ ગંભીર ભૂલો માટે જવાબદાર વ્યક્તિઓ કે રાજકીય પક્ષો સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. આ ઉપરાંત, કેટલાક નાગરિકોએ એવી પણ રજૂઆત કરી હતી કે તેમના નામે વાંધા અરજીઓ કરવામાં આવી છે, જેના કારણે તેમના નામ રદ થયા છે, પરંતુ તેઓ આવી કોઈ અરજીથી અજાણ છે અને તેમણે ક્યાંય સહી કરી નથી. બોટાદ ઘાંચી સમાજના પ્રમુખ મુબારકભાઈ માંકડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા બનાવટી વાંધા અરજી કરનારાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. મતદાર યાદીમાં આવી ગંભીર ભૂલો સામે આવતા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર આ સમગ્ર મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરીને નાગરિકોના મતાધિકારને પુનઃ સ્થાપિત કરે છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:44 pm

લોકો સુધરે નહીં, તંત્ર બેધ્યાન!, રત્નમાલા બ્રિજ માથાનો દુખાવો બન્યો:બ્રિજ પર રોંગ સાઈડનું તોફાન, એકપણ TRB-પોલીસકર્મી નહિ; વાહનચાલકોની ઉતાવળથી અકસ્માતનું જોખમ

સુરત મહાનગર વિસ્તારમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગૂંચવણમાં વધારો થવાની સાથે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સરેઆમ થતું હોવાની ફરિયાદો, કિસ્સા કે દૃશ્યો રોજેરોજ જોવા, સાંભળવા મળે છે. ગત ગુરુવારે એટલે કે પાંચ દિવસ પહેલા જ ઉદ્ઘાટન, લોકાર્પણ થયેલો રત્નમાલાબ્રિજ તેનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે. હજુ બ્રિજનો એક બાજુનો રેમ્પ શરૂ થયાને માંડ પાંચ દિવસ થયા છે, ત્યારે આખા રેમ્પ પર રોંગ સાઈડ વાહનોનું તોફાન મચી ગયું છે. સવાર, સાંજ, બપોર અને રાતે રોંગ સાઈડ પર મોટી સંખ્યામાં વાહનો દોડતા હોય અકસ્માતનું જોખમ તોળાઇ રહ્યું છે. સમગ્ર કિસ્સામાં લોકોને સુધરવું નથી અને તંત્રને જોવું નથી જેવો ઘાટ સર્જાયો છે. એક તરફનો ઓવરબ્રિજ કામ પૂરું થતા શરૂ કરી દેવાયોમળતી માહિતી પ્રમાણે, અમરોલીને કતારગામ અને વેડરોડથી જોડતા અને 62.84 કરોડ રૂપિયાના ખર્ચે સાકારિત રત્નમાલા 4 લેન ફ્લાય ઓવરબ્રિજની કુલ લંબાઈ 1030 રનિંગ મીટર છે. જે બન્ને બાજુ 7.5 મીટર પહોળી લેન ધરાવે છે. અહીં ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર હોવાથી એક તરફના ઓવરબ્રિજનું કામ પૂરું થતા લોકો માટે શરૂ કરી દેવાયો છે. જ્યારે સાકારિત અમરોલીથી કાંસાનગર તરફ આવતા બ્રિજનું કામ પણ ઝડપી શરૂ કરાયો છે. એક બાજુનો રેમ્પ શરૂ થવાને કારણે ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરાતા કાંસાનગર નજીક ગજેરા સર્કલ તેમજ રત્નમાલા જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટશે, એવો તંત્રનો દાવો સાચો સાબિત થયો છે. બ્રિજ પર રોંગ સાઇડ વાહનોનું ઘોડાપૂરસર્કલ પર ટ્રાફિકમાં હળવાશ સાથે બ્રિજ પર રોંગ સાઇડ વાહનોનું ઘોડાપૂર પણ આવી રહ્યું છે. સ્થિતિ એ હદે બગડી છે કે એક સાઇકલ સવાર જાગૃત નાગરિકે બ્રિજ પરથી રોંગ સાઈડ આવતા વાહનોનો વીડિયો લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં રોંગ સાઈડ અને પૂરઝડપે દોડી રહેલા વાહનોને જોતાં સોશિયલ મીડિયા પર જ ચર્ચા, આક્ષેપો, મહેણાં-ટોણાંની સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ બ્રિજ પર અકસ્માતની સ્થિતિથી બચવા તંત્રએ તાકીદે પગલાં લેવા જોઈએ એવો મત પણ વ્યક્ત કરાઇ રહ્યો છે. રત્નમાલાબ્રિજ તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિઅત્રે ઉલ્લેખનીય છે કે આ રત્નમાલા બ્રિજ બનવામાં એક થી દોઢ વર્ષ જેટલું મોડું થયું છે જેને લઈને વિવાદમાં રહ્યો હતો. ત્યારબાદ એક સાઈડનો બ્રિજ બની ગયા બાદ પણ તેનું લોકાર્પણ ન થઈ રહ્યું હોવાથી પણ વિવાદ થયો હતો. જ્યારે હવે આ બ્રિજ ની એક સાઇડ ખુલ્લી મુક્યા બાદ હવે રોંગ સાઈડ જતાં વાહન ચાલકોને લઈને આ બ્રિજ ફરી ચર્ચામાં આવ્યો છે, જેને પગલે હાલ રત્નમાલાબ્રિજ તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ નું નિર્માણ થયું છે. પતંગ દોરીને કારણે 70 ફૂટ ઊંચા બ્રિજથી પરિવાર પટકાયો, CCTV 14 જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વએ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક જ પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતાં બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે બાઇક પર સવાર આખો પરિવાર પૂલથી 70 ફૂટ નીચે ખાબક્યો હતો. આ ઘટનામાં 35 વર્ષીય પિતા રેહાન, તેની પત્ની રેહાના અને 10 વર્ષની પુત્રી આયેશાના મોત થયા હતા. જેમાંથી પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે રિક્ષા પર પડેલી માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી, જેમાં તેણીએ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:41 pm

બેંકિંગ ક્ષેત્રે 5-ડે વર્કિંગની માંગ:યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના આહવાનના પગલે ભાવનગરના બેંકના કર્મચારીઓ દેશવ્યાપી હડતાળમાં જોડાયા

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા આજરોજ દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ નીલમબાગ ખાતે આવેલ બેંક ખાતે વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, બેંક કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે જેવી કે, બેંક કર્મચારીઓના લાંબા સમયથી પડતર એવા અઠવાડિયામાં પાંચ દિવસનું કામકાજ લાગુ કરવાની માંગ સાથે આ આંદોલન છેડવામાં આવ્યું છે આ આંદોલનમાં ગુજરાતભરના અંદાજે 15,000 કર્મચારીઓ અને અધિકારીઓ જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 5,500 થી વધુ બેંકર્સ સમલે થયા હતા, યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) ના નેજા હેઠળ જાહેર અને ખાનગી ક્ષેત્રની નવ યુનિયનોનું સમર્થન મળ્યું હતું, LIC, રિઝર્વ બેંક (RBI), કેન્દ્ર સરકાર, શેર બજાર અને ફોરેક્સ માર્કેટમાં પહેલેથી જ અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજની પદ્ધતિ અમલમાં છે, તો પછી બેંક કર્મચારીઓને જ કેમ આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે..? ​અગાઉ ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) સાથે થયેલી સમજૂતી મુજબ દર શનિવારે રજા આપવાના બદલામાં સોમવારથી શુક્રવાર સુધી રોજની 40 મિનિટ વધુ કામ કરવાની તૈયારી પણ કર્મચારીઓએ દર્શાવી છે આમ છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ​નિલમબાગ ખાતે અંદાજે 300 થી વધુ બેંક કર્મચારીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો, યુનિયનના મહામંત્રી જતિનભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, પાંચ દિવસનું સપ્તાહ લાગુ કરવાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને ગ્રાહક સેવાઓને પણ કોઈ નુકસાન નહીં થાય, કારણ કે ડિજિટલ બેંકિંગના અનેક વિકલ્પો અત્યારે ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:38 pm

શહેરામાં સ્ટેટ હાઈવે-5 પર તંત્રનું બુલડોઝર:200થી વધુ કાચા-પાકા દબાણોનો સફાયો

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વહીવટી તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ-શામળાજી મુખ્ય માર્ગ (સ્ટેટ હાઇવે-5) પરના 200થી વધુ કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. હાલોલ-શામળાજી મુખ્ય હાઇવે પર સતત વાહનોની અવરજવર રહે છે. લાંબા સમયથી માર્ગની બંને તરફ થયેલા દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSRDC) દ્વારા સ્થાનિક તંત્ર સાથે મળીને અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો. હાઇવેની મધ્યમાંથી નિયમ મુજબ રેખા નિયંત્રણ (લાઇન દોરી)ના નિશાન કરી 200 જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. 27 જાન્યુઆરીની ડેડલાઇન પૂર્ણ થતાં જ, પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી.તંત્રની આ કાર્યવાહીથી આગામી સમયમાં શહેરા નગરમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:38 pm

વઢવાણ કંસારા વાડમાં 2 માસથી ખુલ્લા ખાડા:સ્થાનિકોએ બુરાણની માંગ કરી, થોડા દિવસ પહેલા એમ્બ્યુલન્સ ફસાઈ જતા દર્દીનું મોત થયું હતું

વઢવાણના કંસારા વાડ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ખુલ્લા પડેલા ખાડાઓને કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ખાડાઓને લીધે ટ્રાફિક સમસ્યા વકરી છે અને તાજેતરમાં એક દર્દીનું મોત પણ થયું છે, કારણ કે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી. મહાનગરપાલિકા દ્વારા 'નલ સે જલ' યોજના હેઠળ નવી પાઇપલાઇન નાખવા માટે પાંચથી વધુ મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ પણ આ ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવ્યા નથી, જેના કારણે રસ્તા પર સતત પાણી ભરાઈ રહે છે. મેન બજાર જેવા વ્યસ્ત વિસ્તારમાં ખુલ્લા ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે. ગતરોજ એક વાહન ખાડામાં પડવાનો બનાવ બન્યો હતો, જ્યારે આજે સવારે એક વૃદ્ધ મહિલા ખાડામાં પડતા માંડ બચ્યા હતા. સ્કૂટર અને બાઈક ચાલકો વારંવાર ખાડામાં પડી રહ્યા છે. આજ રોજ એક કટોકટીની સ્થિતિમાં એમ્બ્યુલન્સ મેન બજારમાં પ્રવેશી શકી ન હતી અને તેને શિયાણીની પોળ તરફથી વળાંક લઈને જવું પડ્યું હતું. આ વિલંબને કારણે દર્દીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામનાર પરેશભાઈ પરીખના પિતા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો મહાનગરપાલિકાની બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાયો છે. તેઓ તાત્કાલિક ખાડાઓ પૂરવા, પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે સત્તાવાળાઓ સમક્ષ માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:32 pm

વડોદરામાં ચાલુ રીક્ષામાં ચાલકને હાર્ટ એટેક આવતા મોત:મૃત દીકરાને જોઈ માતાનું હૈયાફાટ રૂદન, બે પુત્રો બાદ હવે ત્રીજો કમાઉ દીકરો પણ ગુમાવ્યો

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માત સાથે હાર્ટ એટેકના બનાવોમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરના રાજમહેલ રોડ પર એક રીક્ષાચાલક યુવક ચાલુ રીક્ષાએ અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાવડોદરા શહેરના રાજમહેલ રોડ પર ચાલુ રીક્ષામાં બેઠેલા ચાલકને હૃદયરોગનો હુમલો આવતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ શૈલેષભાઈ મનસુખભાઈ મીઠાપરા (ઉંમર 45) તરીકે થઈ હતી. તેઓ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલ નગરના રહેવાસી હતા અને રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રીક્ષા ચલાવતી સમયે અચાનક હૃદયરોગનો હુમલો આવતા મોતતે દરમિયાન આજરોજ રીક્ષા ચલાવતા સમયે અચાનક તેઓને ચક્કર આવતા ડ્રાઈવર સીટ પર જ ઢળી પડ્યા હતા. જ્યાં હૃદયરોગનો હુમલો આવતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રાજમહેલ રોડ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. જે બાદ મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ગરીબ માતાના ત્રીજા અને કમાઉ પુત્રનું મોત નીપજ્યુંઘટનાસ્થળે પહોંચેલી માતા પુત્રના મૃતદેહને જોઈને ભારે આક્રંદ કરી રહી હતી. શૈલેષભાઈ ગરીબ માતાના ત્રીજા પુત્ર હતા અને અગાઉ પણ તેમના બે ભાઈઓનું મોત નીપજ્યું હોવાથી આ મોતે પરિવારને વધુ લાચાર બનાવી દીધો છે. ઘટનાસ્થળે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. નવાપુરા પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:30 pm

ગોધરામાં સંઘના શતાબ્દી વર્ષના હિન્દુ સંમેલનો:14 ફેબ્રુઆરીના રોજ ગોવર્ધન વસ્તીમાં કાર્યક્રમ, ઘર-ઘર સંપર્ક અભિયાન પૂર્ણ

ગોધરા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિરાટ હિન્દુ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, ગોવર્ધન વસ્તીમાં આગામી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એક હિન્દુ સંમેલન યોજાશે. આ સંમેલનો પહેલાં, ગોધરા નગરની કુલ ૧૪ વસ્તીઓમાં ઘર-ઘર સંપર્ક અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંઘના શતાબ્દી વર્ષ અને આગામી કાર્યક્રમો વિશે માહિતગાર કરવાનો હતો. ગોવર્ધન વસ્તીના પ્રમુખ અમિતભાઈ પંચાલ દ્વારા આ સંમેલનમાં સમસ્ત હિન્દુ સમાજને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:28 pm

ખેલ મહાકુંભના બે દિવસ બાકી, દોઢ લાખ યુનિફોર્મનો પત્તો નહિ!:15 હજાર નવા વિદ્યાર્થીઓ મુંઝવણમાં, સ્કૂલડ્રેસ આવતા હજી 15 દિવસ લાગશે

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં આગામી 30મી જાન્યુઆરીથી ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત પ્રત્યે બાળકોમાં જાગૃતિ આવે અને તેમનું કૌશલ્ય ખીલે તે હેતુથી આ કાર્યક્રમ યોજાય છે, પરંતુ આ વર્ષે પણ તંત્રની અણઘડ નીતિને કારણે વિવાદ સર્જાયો છે. ખેલ મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના બે દિવસો બાકી રહ્યા છે, તેમ છતાં હજુ સુધી હજારો વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવામાં આવ્યા નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેનેજમેન્ટની આળસ અને ઢીલી નીતિને કારણે બાળકોએ ગણવેશ વગર જ મેદાનમાં ઉતરવાની નોબત આવી છે. સતત બીજા વર્ષે ઓર્ડર આપવામાં વિલંબનવાઈની વાત એ છે કે, આ પ્રકારની પરિસ્થિતિ પહેલીવાર નથી સર્જાઈ. ગત વર્ષે પણ સ્પોર્ટ્સ યુનિફોર્મ પૂરા પાડવામાં શિક્ષણ સમિતિએ ભારે વિલંબ કર્યો હતો. સતત બીજા વર્ષે પણ તંત્રએ પોતાની ભૂલમાંથી કોઈ બોધપાઠ લીધો હોય તેવું જણાતું નથી. વહીવટી પ્રક્રિયામાં થતા વિલંબને કારણે 1.80 લાખ જેટલા યુનિફોર્મનો ઓર્ડર છેક છેલ્લી ઘડીએ આપવામાં આવ્યો છે. આ વિલંબ પાછળ વહીવટી તંત્રની આંતરિક ખેંચતાણ અને આયોજનનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના જુસ્સા પર પડી રહી છે. ટેન્ડર પ્રક્રિયા અને લેબ ટેસ્ટિંગનું બહાનુંજ્યારે આ બાબતે તંત્રના જવાબદારોને પૃચ્છા કરવામાં આવી ત્યારે તેમણે ટેન્ડર પ્રક્રિયામાં થતા વિલંબનો રાગ આલાપ્યો હતો. સમિતિના જણાવ્યા અનુસાર, યુનિફોર્મની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર માન્ય લેબોરેટરીમાં કાપડનું ટેસ્ટિંગ કરાવવું અનિવાર્ય હોય છે. આ ટેસ્ટિંગ પ્રક્રિયા અને ટેન્ડરિંગની કાયદાકીય ગૂંચવણોને કારણે ઓર્ડર આપવામાં મોડું થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માત્ર 10 દિવસ પહેલા જ યુનિફોર્મનો ઓર્ડર અપાયો છે, જે પ્રક્રિયા મહિનાઓ અગાઉ પૂર્ણ કરી દેવાની જરૂર હતી. યુનિફોર્મ આવતા હજી 15 દિવસનો સમય લાગશેવર્તમાન સ્થિતિ એવી છે કે, ઓર્ડર આપી દેવાયો હોવા છતાં, યુનિફોર્મ તૈયાર થઈને શાળાઓ સુધી પહોંચતા હજી ઓછામાં ઓછા 15 દિવસ જેટલો સમય લાગે તેમ છે. બીજી તરફ, ખેલ મહાકુંભ તો 30મી જાન્યુઆરીથી જ શરૂ થઈ રહ્યો છે. તંત્ર હવે એવું બહાનું કાઢી રહ્યું છે કે, 30મી જાન્યુઆરીએ માત્ર પ્રેક્ટિસ શરૂ થશે અને મુખ્ય સ્પર્ધાઓ બાદમાં યોજાશે. જોકે, વાસ્તવિકતા એ છે કે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ગણવેશમાં સજ્જ થઈને મેદાનમાં ઉતરે તે ભાવના પર તંત્રના લેટ લતીફ વલણે પાણી ફેરવી દીધું છે. નવા વિદ્યાર્થીઓની હાલત કફોડીશિક્ષણ સમિતિ હેઠળ અંદાજે 1.80 લાખ યુનિફોર્મનો ઓર્ડર અપાયો છે. તંત્રનું કહેવું છે કે જૂના 1.65 લાખ વિદ્યાર્થીઓ પાસે ગત વર્ષના યુનિફોર્મ હયાત છે, તેથી તેમને વાંધો નહીં આવે. પરંતુ પ્રશ્ન એ 15 હજાર નવા વિદ્યાર્થીઓનો છે જેમણે આ વર્ષે જ પ્રવેશ મેળવ્યો છે. આ નવા બાળકો પાસે રમતગમત માટેનો કોઈ ખાસ ગણવેશ નથી. શું આ 15 હજાર બાળકો અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે લઘુતાગ્રંથિ અનુભવશે નહીં? જૂના ગણવેશ પણ ઘણા બાળકોને હવે નાના પડતા હોય કે ફાટી ગયા હોય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. સમિતિના ચેરમેનનો લૂલો બચાવસમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે અને એ વાત સાચી છે કે નવા યુનિફોર્મ હજી પહોંચ્યા નથી. પરંતુ વિદ્યાર્થીઓ પાસે ગયા વર્ષના યુનિફોર્મ છે જ. અમે 15 દિવસ પહેલા જ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ઓર્ડર આપી દીધો છે. સરકારી માન્ય લેબમાં ક્વોલિટી ટેસ્ટિંગના કારણે થોડો સમય લાગે છે. ગત વખતે પણ બજેટમાં મોડી મંજૂરી મળવા છતાં અમે યુનિફોર્મ પૂરા પાડ્યા હતા, આ વખતે પણ ટૂંક સમયમાં જ નવા સ્પોર્ટ્સ યુનિફોર્મ બાળકોને મળી જશે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:26 pm

ગોધરા પાલિકા બાકી વેરા મુદ્દે સક્રિય, 4 હજારને નોટિસ:3 દિવસમાં વેરો ન ભરનારના નળ કપાશે, મિલકત સીલ થશે

ગોધરા નગરપાલિકા બાકી વેરાની વસૂલાત માટે સક્રિય બની છે. પાલિકાએ 4 હજારથી વધુ મિલકતધારકોને નોટિસ પાઠવી છે અને ત્રણ દિવસમાં બાકી વેરો જમા કરાવવા જણાવ્યું છે. સમયસર વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગોધરા નગરપાલિકા હસ્તકની આશરે 50 હજાર મિલકતો પર કુલ 35 કરોડ રૂપિયાનો વેરો બાકી છે. અત્યાર સુધીમાં પાલિકા દ્વારા માત્ર 10 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે, જ્યારે 25 કરોડ રૂપિયાનો વેરો હજુ પણ વસૂલવાનો બાકી છે. આ બાકી લેણાંની વસૂલાત માટે તંત્ર દ્વારા આશરે 4 હજાર જેટલા મોટા બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે. આમાં વાણિજ્યિક અને રહેણાંક બંને પ્રકારની મિલકતોનો સમાવેશ થાય છે. પાલિકાએ તમામ બાકીદારોને ત્રણ દિવસની મુદ્દત આપી છે. જો આ સમયગાળા દરમિયાન વેરો ભરપાઈ કરવામાં નહીં આવે, તો વાણિજ્યિક મિલકતોના કિસ્સામાં દુકાનો કે ઓફિસોને સીલ મારવામાં આવશે. જ્યારે રહેણાંક મિલકતોના નળ જોડાણ કાપવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરાશે. નગરપાલિકાએ નગરજનોને અપીલ કરી છે કે તેઓ સમયસર પોતાનો બાકી વેરો ભરીને શહેરના વિકાસ કાર્યોમાં સહયોગ આપે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:13 pm

સિમલીયા કોલેજમાં સફાઈ કામદારે ધ્વજવંદન કર્યું:77માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગોકુળ પ્રજાપતિના હસ્તે ત્રિરંગો લહેરાવાયો

એસ. પી. પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયામાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના સફાઈ કામદાર ગોકુળભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રમુખ નટવરસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, ચાલુ સત્રમાં નિવૃત્ત થનાર ગોકુળભાઈ પ્રજાપતિએ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રને સલામી આપી હતી. આ ઉજવણી દરમિયાન NCC કેડેટ્સ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. પ્રકાશ હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્યો અને નાટકો સહિત કુલ 20 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી રઘુવીરસિંહ ચૌહાણ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દિલીપકુમાર અમીન, સ્કૂલના પ્રિન્સિપાલ વસંતકુમાર શર્મા, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:12 pm

વિદ્યાર્થી જાદવ ગુંજન કલા મહાકુંભમાં રાજ્યમાં તૃતીય:જિલ્લામાં પ્રથમ આવતા મંત્રીના હસ્તે સન્માન કરાયું

જોરાવરનગરની શ્રી ડી.એન.ટી. હાઈસ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થી જાદવ ગુંજને કલા મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટર અને મંત્રીના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુંજને કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શન બાદ તેણે રાજ્ય કક્ષાએ તૃતીય ક્રમ હાંસલ કર્યો.શ્રી મહાવીર સ્થાનકવાસી જૈન કેળવણી મંડળ સંચાલિત આ શાળાના આચાર્ય બી.જે. ઝાલા, વ્યાયામ શિક્ષક એચ.કે. જાડેજા અને સમગ્ર સ્ટાફ દ્વારા જાદવ ગુંજનને તેની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 3:07 pm

જૂનાગઢમાં મતદાર યાદી મુદ્દે મોટો વિસ્ફોટ:વંથલી કોંગ્રેસના 'વોટ ચોર, ગાદી છોડ'ના નારા સાથે પ્રહાર, કમલમથી 'પાર્સલો' ભરીને ફોર્મ નં. 7 મોકલાયાનો કોંગ્રેસનો ગંભીર આરોપ; બોગસ સહીઓ કરનાર સામે ફોજદારીની માંગ

​જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને સંબોધીને એક અત્યંત ગંભીર આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે વર્ષ 2026ની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન, ખાસ કરીને 16 થી 18 જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં હજારોની સંખ્યામાં ફોર્મ નં. 7 માં શંકાસ્પદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મતે, આ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા વિરોધ પક્ષના મતો કાપવા માટે ઘડાયેલું એક પૂર્વયોજિત કાવતરું છે. ​'વોટ ચોર, ગાદી છોડ': વી.ટી. સીડાના ભાજપ પર આકરા પ્રહાર ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી. સીડાએ આ મુદ્દે આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકસભાના વિરોધ પક્ષના નેતાએ અગાઉ જે સૂત્ર આપ્યું હતું કે 'વોટ ચોર, ગાદી છોડ' તે હવે ગુજરાતમાં સાકાર થઈ રહ્યું છે.તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યો કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયેલા ભાજપના નેતાઓ ગભરાઈ ગયા છે. આથી 'કમલમ' ખાતે મળતિયાઓને બોલાવી, કોમ્પ્યુટરથી ડેટા સર્ચ કરી, કોંગ્રેસના કમિટેડ વોટરોના ચૂંટણી કાર્ડ નંબર મેળવીને તેમના નામ કમી કરવા માટે બોગસ ડમી અરજદારો ઊભા કરવામાં આવ્યા છે. ​પછાત જ્ઞાતિના મતાધિકાર છીનવવાનો પ્રયાસ: સિરાજભાઈ વાજા ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિરાજભાઈ વાજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કમિટેડ મતોને કમી કરવા માટે ડાયરેક્ટ 'કમલમ'થી સંચાલન થઈ રહ્યું છે. ખાસ કરીને આર્થિક અને સામાજિક રીતે પછાત જ્ઞાતિના નામ કમી કરવાની ભાજપની આ ઝુંબેશ લોકશાહીનું મર્ડર કરવા સમાન છે. આ હીન પ્રયાસ સામે રાહુલ ગાંધીજી પણ સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડત લડી રહ્યા છે. વધુમાં, તેમણે આમ આદમી પાર્ટીને પણ આ ફ્રોડ સામે કોંગ્રેસનો સાથ આપી જનતાના પક્ષે ઊભા રહેવા આહવાન કર્યું છે. કમલમથી પ્રાંત કચેરીઓ સુધી 'પાર્સલો' મોકલાયાનો દાવો ​કોંગ્રેસના આગેવાનોએ આરોપ મૂક્યો છે કે ભાજપના કાર્યકરોએ બોગસ સહીઓ અને પોતાના જ મોબાઈલ નંબરો નાખીને સમગ્ર ગુજરાતમાં 'પાર્સલોના પાર્સલ' ફોર્મ નં. 7 ભરીને પ્રાંત કચેરીઓમાં મોકલ્યા છે. આ ફોર્મ્સમાં માત્ર કોંગ્રેસ સમર્થકોના નામોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. 85-માણાવદર વિધાનસભા હેઠળ આવતા વંથલી તાલુકા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે કે, જો કોઈ એક જ વ્યક્તિ 5 થી વધુ ફોર્મ સબમિટ કરે, તો નિયમ મુજબ પ્રાંત અધિકારીએ તેની રૂબરૂ તપાસ કરવી જોઈએ. ​સીસીટીવી ફૂટેજ અને ફોજદારી તપાસની માંગણી ​વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગીરીશભાઈ આરદેશણા અને શહેર પ્રમુખ અદનાનભાઈ ડામરે આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરી છે કે, છેલ્લા દિવસોમાં જે કચેરીઓમાં જથ્થાબંધ ફોર્મ સ્વીકારાયા છે તેના CCTV ફૂટેજ તાત્કાલિક તપાસવા જોઈએ. કયા આધારે અધિકારીઓએ આટલી મોટી સંખ્યામાં ફોર્મ સ્વીકાર્યા તેની તપાસ થવી જોઈએ. જો તપાસમાં માહિતી ખોટી સાબિત થાય, તો ફોર્મ ભરનાર ઈસમો સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ​સાચા મતદારોને રૂબરૂ સાંભળવા કોંગ્રેસની રજૂઆત ​કોંગ્રેસે આગ્રહ કર્યો છે કે કોઈ પણ મતદારનું નામ કમી કરતા પહેલા તેને નોટિસ આપીને રૂબરૂ સાંભળવા જોઈએ. માત્ર રાજકીય દ્વેષભાવથી ભરાયેલા ફોર્મ્સને આધારે કોઈ નિર્દોષ નાગરિક તેનો મતાધિકાર ન ગુમાવે તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની છે. જો ચૂંટણી પંચ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ​લોકશાહી બચાવવા છેલ્લી ઘડી સુધીની લડતની તૈયારી ​આ વિવાદને કારણે વંથલી અને માણાવદર પંથકમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે તેઓ મતદાર યાદીની એક-એક એન્ટ્રી પર નજર રાખી રહ્યા છે. આવેદનપત્રની નકલો જિલ્લા કલેક્ટર અને મામલતદારને પણ મોકલવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે સાચા મતદારોના હક છીનવવાનો કોઈ પણ પ્રયાસ તેઓ ચલાવી લેશે નહીં અને લોકશાહીના રક્ષણ માટે લડત ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:58 pm

અમદાવાદના અર્જુન સ્કાયલાઈફમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી:સંવિધાન અને લોકશાહી મૂલ્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું.

અમદાવાદના અર્જુન સ્કાયલાઈફ ખાતે ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ભારતીય સંવિધાન, લોકશાહી મૂલ્યો અને નાગરિક ફરજોના મહત્વ પર ભાર મૂકતો હતો.ઉજવણીની શરૂઆત ધ્વજારોહણથી થઈ, જ્યાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાયું. આ પ્રસંગે બાળકો, યુવાનો અને વડીલો સહિત સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ અવસરે ભારતના સંવિધાન દ્વારા પ્રદાન કરાયેલા અધિકારો અને નાગરિક ફરજો વિશે જાણકારી આપવામાં આવી. અર્જુન સ્કાયલાઈફમાં યોજાયેલા પ્રવચનોમાં સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વ જેવા સંવિધાનિક મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો.બાળકો દ્વારા દેશભક્તિ ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિઓનો હેતુ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો, તેમજ તેમને દેશના ઇતિહાસ અને સંવિધાનની મહત્તા વિશે માહિતગાર કરવાનો હતો.આ પ્રકારની ઉજવણીઓ સમાજમાં સામૂહિકતા અને સકારાત્મક વિચારધારાને પ્રોત્સાહન આપે છે. અર્જુન સ્કાયલાઈફ ખાતેની આ ઉજવણી લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીને જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે સંપન્ન થઈ.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:56 pm

પ્રજાસત્તાક દિને 45 બોટલ રક્ત એકત્રિત:બ્રહ્મક્ષત્રિય રક્તદાન કેમ્પમાં 9 મહિલાઓ સહિત 45 દાતાઓએ રક્તદાન કર્યું

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બ્રહ્મક્ષત્રિય રક્તદાન મંડળ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ૪૫ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 9 મહિલાઓ સહિત કુલ 45 રક્તદાતાઓએ રક્તદાન કરીને પોતાની સામાજિક ફરજ અદા કરી હતી. મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, બ્રહ્મક્ષત્રિય રક્તદાન મંડળ છેલ્લાં 50 વર્ષથી પણ વધુ સમયથી નિયમિતપણે આવા રક્તદાન શિબિરોનું આયોજન કરતું આવ્યું છે. આ શિબિરમાં કુ. ઈશાનવી નેહલ દેસાઈએ 18 વર્ષ પૂર્ણ થતાં પોતાના જન્મદિવસે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:55 pm

પી.આર. પરમાર હાઈસ્કૂલને પ્રજાસત્તાક પર્વ પર ત્રીજો ક્રમ:રાજ્યકક્ષાના મંત્રી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળાનું સન્માન

પાટણ જિલ્લાના સમી ખાતે આયોજિત ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પી.આર. પરમાર હાઈસ્કૂલે સાંસ્કૃતિક કાર્યક્રમમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાભરની ૭ શાળાઓએ ભાગ લીધો હતો. સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલના ૬૧ વિદ્યાર્થીઓએ રજૂ કરેલી દેશભક્તિસભર કૃતિએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા અને નિર્ણાયકો દ્વારા શાળાની કૃતિને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો. આ વિજેતા કૃતિના સફળ સંચાલન બદલ શાળાના આચાર્ય ભાવસંગજી ઠાકોર, જિલ્લા કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર તેમજ કૃતિના કન્વીનર શૈલેન્દ્રસિંહ સોઢા અને રિંકલબેન ચૌધરીનું મંત્રીશ્રીના વરદ હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર,પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને જિલ્લા કલેક્ટર તુષારભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાની આ સફળતા બદલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ દુદખિયા તથા શાળાના શિક્ષકો અશ્વિનભાઈ,વિપુલભાઈ, હેતલબેન,બાલસંગજી,સાહિલકુમાર,કમલેશભાઈ સહિતે તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક કન્વીનરોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સિદ્ધિથી સમગ્ર સમી પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:53 pm

ભાજપ શહેર અધ્યક્ષે ખોડિયાર માતાજીના દર્શન કર્યા:વડવા હનુમાનમઢી ખાતે પ્રાગટ્ય દિવસ નિમિત્તે હાજરી આપી

ભાવનગરના વડવા ખાતે આવેલા હનુમાનમઢી મંદિરમાં માઁ ખોડિયારના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના શહેર અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ) એ માતાજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ શહેર મહામંત્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:52 pm

ડૉ. ભરત ઠાકોરે દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું:આકાશવાણીના સર્વભાષા કવિ સંમેલનમાં અનુવાદક કવિ તરીકે ભૂમિકા ભજવી

આકાશવાણી, દિલ્હી દ્વારા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સર્વભાષા કવિ સંમેલનનું આયોજન થયું. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતના 22 રાજ્યોમાંથી 22 ભાષાઓના વિખ્યાત કવિઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભરત ઠાકોરે ગુજરાતનું પ્રતિનિધિત્વ અનુવાદક કવિ તરીકે કર્યું હતું. ડૉ. ઠાકોરે ગુજરાતના મૂળ કવિ ડૉ. હરદ્વાર ગોસ્વામીની કવિતાઓના હિન્દી અનુવાદની જવાબદારી સંભાળી હતી. તેમણે પોતાની ભાષાકીય કુશળતા અને સંવેદનશીલતાથી ગુજરાતી કાવ્યની ભાવનાને હિન્દી ભાષામાં સફળતાપૂર્વક રજૂ કરી, જેનાથી કાર્યક્રમમાં ભાષાકીય સમન્વય અને સાહિત્યિક એકતા જોવા મળી. ડૉ. ભરત ઠાકોરે ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે કવિતા, અનુવાદ, વિવેચન, સંશોધન અને સંપાદન જેવાં અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના સંશોધન ગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે, અને તેમને રાષ્ટ્રીય સ્તરે હિન્દી સેવી પુરસ્કાર પણ એનાયત થયો છે. અત્યાર સુધીમાં તેમના 15થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમણે કારકિર્દીના પ્રારંભમાં ગુજરાતી ભાષાના જાણીતા સામયિક 'બુદ્ધિપ્રકાશ'માં નિયમિતપણે પુસ્તક પરિચય અને સમીક્ષા લખી હતી. તેમની રચનાઓ 'કવિતા', 'શબ્દસર', 'શબ્દસૃષ્ટિ' અને 'નવનીત સમર્પણ' જેવાં પ્રસિદ્ધ ગુજરાતી સામયિકોમાં પણ છપાઈ છે. આકાશવાણી દ્વારા આયોજિત આ સર્વભાષા કવિ સંમેલન ભારતની ભાષાકીય વૈવિધ્યતા, સાંસ્કૃતિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાનું જીવંત પ્રતિબિંબ છે. આવા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ડૉ. ભરત ઠાકોરની અનુવાદક કવિ તરીકેની ભાગીદારી ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત બની છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:50 pm

આશુતોષ વિધાલયમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:ટ્રસ્ટી મનીષા ચુડાસમાએ ધ્વજવંદન કર્યું, વિવિધતામાં એકતા થીમ પર કાર્યક્રમ યોજાયો

ભાવનગરના ઘોઘારોડ પર આવેલી આશુતોષ વિધાલય ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ કલાકે શાળાના ટ્રસ્ટી મનીષાબેન ચુડાસમા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદન કાર્યક્રમ ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી 'વિવિધતામાં એકતા'ની થીમ પર આધારિત હતી. આ પ્રસંગે એક સુંદર રેમ્પ વોક કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ રેમ્પ વોક કૃતિ પ્રિન્સિપાલ યશ ચાવડા, રૂપલ ચુડાસમા અને ભૂમિ ગોહેલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. શાળાના તમામ શિક્ષકોએ આ કાર્યક્રમના આયોજનમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:49 pm

ગાંધીનગરની શાળામાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી:ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને લાયોનેસ ક્લબ દ્વારા ધ્વજવંદન કરાયું

ગાંધીનગર, સેક્ટર-16 સ્થિત સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વિસ્મા ગીરીશભાઈ દંતાણી અને લાયોનેસ ક્લબ ફેમિનાના પ્રેસિડેન્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તરીકે જી.કે. પરમાર, પ્રદીપસિંહજી વાઘેલા, તથા વેપારી મંડળ સેક્ટર-16ના જયેન્દ્રભાઈ અને અશોકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પ્રદીપસિંહ વાઘેલાએ શાળાના તમામ બાળકોને નવા ગણવેશ આપવાની જાહેરાત કરી હતી, જેનું ઉપસ્થિત સૌએ સ્વાગત કર્યું હતું. જી.કે. પરમાર, પ્રદીપસિંહ વાઘેલા અને લાયોનેસ ક્લબ ફેમિનાના પ્રેસિડેન્ટ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ પણ વિવિધ વિષયો પર વક્તવ્ય રજૂ કર્યા હતા. આ ઉપરાંત, શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વિસ્મા ગીરીશભાઈ દંતાણીનું પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર અને ઇન્ટર્નશીપના તાલીમાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરવામાં સક્રિય યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે, શાળાના આચાર્ય અરૂણભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:49 pm

હાથીજણની રાધે એલીગન્સ સોસાયટીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી:જેક એન્ડ જીલ સ્કૂલના સહયોગથી બાળકો માટે રમતગમતનું આયોજન

આજે સમગ્ર ભારતમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે એલીગન્સ સોસાયટીમાં પણ સભ્યો અને રહેવાસીઓ દ્વારા આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં જેક એન્ડ જીલ સ્કૂલ, હાથીજણનો સહયોગ રહ્યો હતો. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે બાળકો માટે વિવિધ રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેક એન્ડ જીલ સ્કૂલ દ્વારા તમામ બાળકોને ભેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સોસાયટીના ચેરમેન અને આયોજનકર્તા આગેવાનો દ્વારા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ રીતે સોસાયટીના સભ્યો અને શાળાના સહયોગથી પ્રજાસત્તાક દિનની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:47 pm

આગળ ચાલીને જતાં યુવકને ક્રેનચાલકે કચડી માર્યો, CCTV:આગલા તોતિંગ ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત, વડોદરાના મકરપુરાનો બનાવ

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક રાહદારીનું ક્રેન દ્વારા અડફેટે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રેનના ડ્રાઇવરની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સંબંધીને મળવા જતાં રસ્તામાં મોત ત્રાટક્યુંમકરપુરા ડેપોથી જી.આઈ.ડી.સી. તરફ જતા રસ્તા પર રાહદારી વિનુભાઈ ભાભોર (દાહોદ જિલ્લાના ડોકી ગામના નિવાસી, હાલ વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહે છે) પોતાના સંબંધીને મળવા જઈ રહ્યા હતા. તેમને ક્રેનના ચાલકે અડફેટે લીધા હતા. ક્રેનના તોતિંગ પૈડા નીચે આવી જવાથી રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના CCTVમાં કેદઅકસ્માત બાદ ઘટનાસ્થળે રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મકરપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ઘટનાના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજમાં ક્રેન ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. મકરપુરા પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ અકસ્માત અને બેદરકારીથી મૃત્યુના આરોપસર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બધું દબાણને લીધે થાય છેઃ જયેશભાઈમકરપુરા GIDCમાં કંપની ચલાવતા વેપારી જયેશભાઈએ જણાવ્યું હતું કે, આ બધું દબાણને લીધે થાય છે. રસ્તાઓ પર જે દબાણ છે તે મુખ્ય સમસ્યા છે. GIDCના જે મુખ્ય સંચાલકો છે, એ લોકોએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. સૌથી પહેલા તો રસ્તાઓ ખુલ્લા અને પહોળા કરવા જોઈએ. જો રસ્તા પર દબાણ હશે તો માણસ ચાલશે ક્યાં? ‘સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે માણસ ગુજરી ગયો છે, એના ઘરવાળાને તો ખબર પણ નથી કે એમના પરિવારનો સભ્ય હવે આ દુનિયામાં નથી. આ અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે. સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. રસ્તાઓ પરથી દબાણો હટાવવા જ પડશે. મોટી ગાડીઓ અને ક્રેન વાળા ગમે તેમ સ્પીડમાં જાય છેઃ યુવકઅન્ય એક યુવકે જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટો ચાલતી નથી. રસ્તો બનાવે છે અને પાછો ખોદી નાખે છે. મોટી ગાડીઓ અને ક્રેન વાળા ગમે તેમ સ્પીડમાં જાય છે. હજુ 13 જાન્યુઆરીએ રાત્રે અહીં જ એક ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને આજે ફરી આ અકસ્માત થયો છે. શું સરકાર આની જવાબદારી લેશે?

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:47 pm

દીવાન-બલ્લુભાઈ શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી:સૌરિન શાહ મુખ્ય મહેમાન, 115 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

દીવાન-બલ્લુભાઈ શાળા, કાંકરિયા ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિલ્વર ઓક યુનિવર્સિટી, અમદાવાદના વાઇસ ચાન્સેલર અને શાળાના પૂર્વ વિદ્યાર્થી સૌરિનભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભભાઈ ઠાકોર, ટ્રસ્ટીઓ અરુણભાઈ ચતુર્વેદી, કૌશલભાઈ ઠાકોર, સિરાલીબહેન મહેતા, તેમજ કેમ્પસ કો-ઓર્ડીનેટર પાયલબહેન ઠાકોર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ઉજવણી દરમિયાન NCC અને SPCના વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી. સ્કાઉટના વિદ્યાર્થીઓએ બેન્ડ પ્રદર્શન કર્યું હતું. મુખ્ય મહેમાન અને મેનેજિંગ ટ્રસ્ટીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાએ રમત-ગમતમાં ભાગ લેનાર 115 વિદ્યાર્થીઓને એલમનાઈ એસોસિએશન તરફથી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં શાળાના આચાર્યઓ, કો-ઓર્ડીનેટરઓ, એલમનાઈ એસોસિએશનના હોદ્દેદારો, તમામ સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:44 pm

રાહી ફાઉન્ડેશને વાડજમાં ખીચડી-છાશનું વિતરણ કર્યું:દધીચિ બ્રિજ નીચે 800થી વધુ શ્રમજીવી પરિવારોને લાભ મળ્યો

રાહી ફાઉન્ડેશન દ્વારા વાડજમાં 211મા 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. દધીચિ બ્રિજ નીચે યોજાયેલા આ કાર્યક્રમમાં 800થી વધુ શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓએ વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ લીધો હતો. આ વિતરણ કાર્યક્રમ દૂધનાથ મહાદેવથી આગળ, જય જોગણી માતાના મંદિર પાસે, દધીચિ બ્રિજ નીચે, વાડજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના સહયોગી શ્રી આશીની-મેઘના દેવાંગ શાહ પરિવાર રહ્યા હતા. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મેઘના શાહ, દેવાંગ શાહ, શરદ જાદવ, વિજય દલાલ અને માર્કણ્ડભાઈ ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:42 pm

રૂપલ સોસાયટીની શાળાઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી:નગરસેવિકાની હાજરીમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન કરાયા

રૂપલ સોસાયટી, વેડ રોડ સ્થિત સમાવેશિત શાળા નંબર ૧૮૫, ૩૩૧ અને ૩૩૯ના સંયુક્ત કેમ્પસમાં ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નગરસેવિકા સુવર્ણબેન જાદવ અને જિતેન્દ્રભાઈ સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિસ્તારના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો પણ હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, આ વર્ષે જન્મેલી કન્યાઓ અને તેમની માતાઓને સન્માનપત્ર આપી 'બેટી બચાવો, બેટી પઢાવો'નો સંદેશ આપવામાં આવ્યો હતો. શાળાના સ્વચ્છતા કર્મચારીઓ અને 'ત્રીજી આંખ' સમાન વોચમેનને ગુલાબ આપી તેમની સેવાભાવી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. અહિલ્યાબાઈ હોળકર કન્યા શાળા નંબર ૧૮૫ના શિક્ષિકા વર્ષાબેન ગાયકવાડ અને જ્યોતિ પેડણેકર નેહતેને મળેલ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર બદલ વિશેષ સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દેશભક્તિ અને સામાજિક એકતાનો સંદેશ આપતા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:41 pm

જામનગરમાં ત્રીજા સ્મશાનને સૈદ્ધાંતિક મંજૂરી:સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. 29.54 કરોડના વિકાસ કાર્યોને બહાલી આપી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેર માટે ત્રીજા સ્મશાનના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નવું સ્મશાન જામનગર-લાલપુર રોડ પર ચેલા ગામ પાસે બનાવવામાં આવશે. આ ઉપરાંત, સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નંદની કેતન સ્કૂલ થઈ બીડીબંદર જંકશન સુધીના રીંગરોડને 'ગ્રીન રોડ' તરીકે વિકસાવવા અને આલ્ફલ્ટ કાર્પેટ કરવાનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. 29.54 કરોડના વિકાસ કાર્યોને બહાલી આપી હતી. મુખ્યમંત્રી ગ્રીન રીંગરોડ યોજના હેઠળ આ પ્રોજેક્ટમાં આલ્ફલ્ટ રોડ, રીકાર્પેટિંગ, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સેન્ટ્રલ ડિવાઈડર, ફૂટપાથ નીચે અંડરગ્રાઉન્ડ યુટિલિટી કેબલ ટ્રેન્ચ અને રોડની બંને બાજુએ વૃક્ષારોપણનો સમાવેશ થાય છે. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન અને ઓપન પોઈન્ટ ગાર્બેજ કલેક્શન બીન્સ દ્વારા કચરો એકત્રિત કરી બંધ બોડીના વાહનો દ્વારા તેના નિકાલની કામગીરી માટે ડિસેમ્બરથી માર્ચ સુધીના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:40 pm

નવાવાડજમાં ગ્રીન ઇન્ડિયા થીમ પર ચિત્ર હરીફાઈ:શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી

નવાવાડજ સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે એક ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ગ્રીન ઇન્ડિયા' થીમ પર આધારિત આ સ્પર્ધામાં ૧૬ વર્ષથી નીચેના ૯૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચિત્રકાર અને જજ રમેશ હાલાણીએ હરીફાઈ શરૂ કરતા પહેલા સ્પર્ધકોને 'ગ્રીન ઇન્ડિયા' થીમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ચિત્રકામ શરૂ કર્યું હતું. આ હરીફાઈમાં શ્રેષ્ઠ ૧૦ ચિત્રોને ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ટોકન ઇનામ અને અલ્પાહાર પૂરા પાડવામાં આવ્યા હતા. ચિત્ર હરીફાઈ બાદ 'ભારત માતા કી જય'ના નારા સાથે એક રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિર ટ્રસ્ટ વતી નિલેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:40 pm

પાટણના શ્રી સરસ્વતી શિશુમંદિરમાં ૭૭મો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો:પૂર્વ વિદ્યાર્થી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

પાટણના શ્રી સરસ્વતી શિશુમંદિર, શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ ખાતે ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભારતમાતા પૂજન અને ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ પ્રસંગે વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી અને અમેરિકાના ઉદ્યોગપતિ કૃણાલભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય અને વિદ્યાભારતી ગુજરાત પ્રાંતના પ્રાંત શૈક્ષિક પ્રમુખ ડૉ. રમેશભાઈ ચૌધરી તેમજ વિદ્યાભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ કેશુભાઈ મોરસણીયા પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર, વ્યાયામયોગ અને દંડયોગ જેવા શારીરિક શિક્ષણના વિવિધ પ્રત્યક્ષીક કાર્યક્રમો યોજાયા હતા. માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ NCC પરેડ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાલયના ટ્રસ્ટીઓ, પ્રધાનાચાર્યો, આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રિતેશભાઈ લીમ્બાચીયાએ આ સફળ કાર્યક્રમનું સંયોજન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:38 pm

અરવિંદ વિદ્યામંદિરમાં “મહાભારત એક દર્શન” પ્રદર્શન યોજાયું:શેઠ અરવિંદ જીવાભાઈની 12મી પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાર્થીઓએ કથા રજૂ કરી

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિરમાં મહાભારત એક દર્શન વાર્ષિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શેઠ અરવિંદ જીવાભાઈ શાહની ૧૨મી પુણ્યતિથિની ઉજવણી સાથે દ્વિવિધ રીતે યોજાયો હતો. એન.જી.ઈ.એસ., મુંબઈના જનરલ સેક્રેટરી શેઠ જીગ્નેશભાઈ એ. શાહના અધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાયો હતો. પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોની સુષુપ્ત શક્તિઓ અને જ્ઞાનનો વિકાસ કરવાનો તેમજ બાળકો અને સમાજને મહાભારત મહાકાવ્યમાંથી વર્તમાન સમયમાં બોધ લઈ મૂલ્યલક્ષી જીવનની પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો અને શાળા પરિવારે શેઠ અરવિંદ જીવાભાઈ શાહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ગજાનંદ ગણપતિ દાદાની દીપ પ્રગટાવી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મહાભારત એક દર્શન થીમ આધારિત આ પ્રદર્શનમાં મહાભારત કથાને કુલ ૨૦ ખંડોમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ગંગા-શાંતનું મિલનથી શરૂ કરીને પાંડવોના સ્વર્ગવાસ સુધીની વિવિધ હૃદયસ્પર્શી ઘટનાઓ વિશેષ રીતે દર્શાવવામાં આવી હતી. કૌરવ-પાંડવ જન્મ, કૃષ્ણ લીલા, પાંડવ વનવાસ અને કુરુક્ષેત્ર જેવા તમામ પ્રસંગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન માટે બાળકો દ્વારા સ્વરચિત મોડેલો તૈયાર કરવામાં આવ્યા હતા, જેના માટે શાળા દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું હતું. શેઠ અરવિંદભાઈ જે. શાહ પરિવાર તરફથી બાળકો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં N.G.E.S., મુંબઈના જનરલ સેક્રેટરી જીજ્ઞેશભાઈ શાહ (અધ્યક્ષ), ઉદ્ઘાટક અતુલભાઈ શાહ, અતિથિ વિશેષ ભાવનાબેન એ. શાહ અને જીજ્ઞા એ. શાહ, ડૉ. અરવિંદભાઈ સ્વામી, NGES કેમ્પસ ઇન્ચાર્જ ઉપેન્દ્રભાઈ ધ્રુવ તેમજ શેઠ અરવિંદ જીવાભાઈ શાહના સમગ્ર પરિવાર સહિત કેમ્પસની ભગિની સંસ્થાઓના આચાર્યઓએ વિશેષ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પસના CDO ડૉ. જયભાઈ ધ્રુવ સરના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું હતું. મહેમાનો અને વાલીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. પ્રદર્શનના અંતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને QR કોડ દ્વારા પ્રતિભાવ લેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Jan 2026 2:37 pm