SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

કુમકુમ મંદિરે ચૈત્રી પૂર્ણિમાએ સત્સંગ સભા યોજાઈ:અબજીબાપાશ્રીની 11 પારાયણ, પ્રેમવત્સલદાસજીએ ધાર્મિક ચિહ્ન ધારણ કરવા પર ભાર મૂક્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ, હિરાપુર ખાતે ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્સંગ સભાનું આયોજન થયું હતું.ઉજવણીના ભાગરૂપે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧ પારાયણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધૂન-કીર્તન યોજાયા હતા.આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના અંતે સંતો અને હરિભક્તોએ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની છત્રી સ્થાન ઉપર સામૂહિક આરતી ઉતારી હતી. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ ચૈત્રી પૂનમના દિવસે ઉજવાતી હનુમાનજી જયંતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હનુમાનજીનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે.તેમણે હનુમાનજીના સિંદૂર ધારણ કરવાના પ્રસંગનું વર્ણન કરતા કહ્યું કે, સીતાજી પાસેથી જાણ્યા બાદ કે શ્રી રામચંદ્રજીને સિંદૂર ખૂબ પ્રિય છે, હનુમાનજીએ પોતાના સમગ્ર શરીર પર સિંદૂર લગાવ્યું હતું.આ પ્રસંગમાંથી પ્રેરણા લઈને દરેક હિન્દુએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવા માટે ધાર્મિક ચિહ્ન અવશ્ય ધારણ કરવું જોઈએ, તેમ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ દરેક સત્સંગીને કપાળમાં ઊર્ધ્વપુન્ડ્ર તિલક-ચાંદલો કરવાની આજ્ઞા કરી છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે.ધાર્મિક ચિહ્ન ધારણ કરવાથી હિન્દુ સંસ્કારો સચવાઈ રહે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. તે આપણને પવિત્ર આચરણ જાળવવા માટે પણ યાદ અપાવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:56 pm

કલોલના નારદીપુરમાં 3 ગૌવંશની ક્રૂર હત્યા:અજાણ્યા શખસોએ ગાયોને વાડામાંથી ચોરી ખેતરમાં લઈ જઈ રહેંસી નાખી; અવશેષો મળતા પશુપાલકોમાં રોષ

કલોલ તાલુકાના નારદીપુર ગામમાં પશુ પ્રત્યેની અત્યંત ક્રૂરતાની હચમચાવનારી ઘટના સામે આવી છે. અત્રેના ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ ગાયોની ચોરી કરી તીક્ષ્ણ હથિયારો વડે તેની કતલ કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે FSL રીપોર્ટ આધારે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણ પશુપાલકોની ગાયો વાડામાંથી ઓચિંતા ગાયબ થઈ ગઈપ્રાપ્ત વિગતો મુજબ, કલોલ તાલુકાના નારદીપુર ગામના લાલદાસ વાસમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આયુષ લલ્લુભાઈ રબારીની એક કાળી ગાય ગત તા. 27 માર્ચના રોજ વહેલી સવારે વાડામાંથી ગુમ હતી. આથી પશુપાલકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની ગાયની સાથે પડોશમાં રહેતા જીતુભાઈ રબારી અને કાનજીભાઈ રબારીની પણ એક એક ગાય મળી કુલ ત્રણ ગાયો ગાયબ હતી. ખેતરમાં પશુઓના કપાયેલા અવશેષો મળતા ગ્રામજનો સ્તબ્ધપશુપાલકોએ દિવસભર શોધખોળ કરવા છતાં પશુઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સાંજના સમયે નારદીપુરથી ડીંગુચા રોડ પર આવેલા ONGC વેલ પાસેના એક પડતર ખેતરમાં પશુઓના કપાયેલા અવશેષો મળી આવતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ત્રણેય ગાયોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખી હોવાનું બહાર આવ્યુંઆ ઘટનાના પગલે પશુપાલકો અને ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં લોહીથી ખરડાયેલી જગ્યા પર ગાયના શિંગડા અને શરીરના અન્ય ભાગો વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. પશુપાલકોએ સ્થળ પરથી મળી આવેલા કોટીયુ અને દોરડા પરથી પોતાની ગાયોની ઓળખ કરી હતી. અંદાજે 1.45 લાખની કિંમતની ત્રણેય ગાયોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યોઆ ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વેટરનરી ડોક્ટર દ્વારા જરૂરી નમૂના લઈ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં પણ આ અવશેષો ગૌવંશના હોવાનું પુરવાર થયું છે. જેથી પશુપાલક આયુષ રબારીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:53 pm

હિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં લાગી આગ:પરિવારનો સમયસર બચાવ, ફાયર વિભાગે આગ બુઝાવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકરોલથી બેરણા બાયપાસ રોડ પર આજે બપોરે એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતા જ પરિવાર સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો, જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના શુક્રવારે બપોરના સમયે રોટરી સરસ્વતી સ્કૂલ પાછળ, હસ્તિનાપુર વિસ્તારમાં બની હતી. હસ્તિનાપુરના અતુલભાઈ ફલજીભાઈ પટેલ પોતાની સેન્ટ્રો કાર (નંબર GJ 09 AG 5744) માં પરિવાર સાથે ઈડરના જુમસર જઈ રહ્યા હતા. બાયપાસ રોડ પર પહોંચતા જ કારના આગળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને અતુલભાઈ અને તેમનો પરિવાર તરત જ કારના દરવાજા ખોલીને બહાર નીકળી ગયો હતો. થોડી જ વારમાં કાર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. આગની જાણ થતા જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંકભાઈ પટેલે આ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:48 pm

સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના વાહનોમાં સર્વિસના નામે કરોડોના કૌભાંડનો આક્ષેપ:અમદાવાદનું વાહન તલોદમાં સર્વિસ કરાવી GST વગરના લાખોના બિલ પાસ કરાયા, કોંગ્રેસની CM પાસે તપાસની માંગ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના વાહનોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લીકર પરમિટના કૌભાંડ બાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌભાંડનો પુરાવો કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના વાહન સર્વિસ માટે તલોદમાં જતા હોવાનું સામે આવ્યું છે. જ્યા સર્વિસ થયા બાદ GST નંબર વગરના લાખો રૂપિયાનો બિલ રજૂ થયા અને પાસ થઈ જતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ગેરરીતિ કરવા માટે તલોદમાં વાહન સર્વિસ કરાવીને ખોટા બિલ રજૂ લાખો રૂપિયાનું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આરોગ્ય વિભાગને જાણ છતાં કોઈ કાર્યવાહી નહીકોંગ્રેસે દાવો કર્યો છે કે, માત્ર સામાન્ય સર્વિસ માટે પણ બ્લડ બેંકના વાહનો તલોદ સર્વિસ માટે મોકલવામાં આવે છે. જેમાં લાખોમાં બિલ GST નંબર વગરના રજૂ કરીને કૌભાંડ કરવામાં આવતી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. તમામ જિલ્લા અને તાલુકાની હોસ્પિટલમાં પણ તપાસ કરવા માટે કોંગ્રેસે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે એવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગને જાણ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. લીકર પરમિટના નામે પૈસાની પણ ઉચાપત કરવામાં આવે છેગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે ગેરવર્તન કરવામાં આવે, દર્દીને સમયસર સારવાર મળે નહીં, સિક્યુરિટી બેહુદુ વર્તન કરે એવા અનેક બનાવ જોયા છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં જે રીતે ખરીદીના કૌભાંડ ચાલે છે. વાહનોની ચકાસણી અને સમારકામ માટે નાણાકીય મોટા વ્યવહાર કરવામાં આવે છે, જેને જોઈને એવું લાગે છે કે, આના કરતા મોટું કૌભાંડ બીજું કોઈ હોય શકે નહીં તેમજ લીકર પરમિટના નામે પૈસાની પણ ઉચાપત કરવામાં આવે છે. જો તપાસ કરવામાં આવે તો લીકર પરમિટ સિવાય જુદા-જુદા પ્રકારના પૈસાની ઊંચાઈનો કિસ્સો સામે આવી શકે છે. 5 હજારથી વધુનો આંકડો હોય તો GST બિલ હોવું જરુરીવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના સત્તાધિશો અને આરોગ્ય વિભાગ દ્વારા ઢાંકપીછોડો કરીને બે-ત્રણ રસીદ પૂરતું સીમિત કરી દીધું છે. તેવી જ એક પ્રકારની સૌથી મોટી નાણાકીય ગેરરીતિ સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકના જે વાહન છે, તે વાહનમાં તલોદના બિલ રજૂ કરવામાં આવ્યા છે. વાહન અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અને તેનું રિપેરિંગ તલોદમાં કરવામાં આવે છે. જેમાં 18 હજાર રૂપિયાનો વાલ રિપેરિંગ કરવા માટે આપવામાં આવે છે. આ આખા બિલમાં GST નંબર પણ નથી. 5 હજાર કરતા વધુની રકમ થાય તો GST બિલ હોવું જરૂરી છે. યોગ્ય તપાસ થશે તો સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના કૌભાંડ સામે આવશેમુખ્યમંત્રી પાસે તપાસની માંગ સાથે ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તે બાદ પણ GST નંબર ન હોવા છતાં સત્તાધિશોએ બિલની ચુકવણી પણ કરી દીધી છે. વિશેષ પ્રેમના કારણે આવું કર્યું હોય તેવું સમજી શકાય છે. આવા અનેક બિલ છે જેમાં નાણાકીય ઉચાપત, ગેરરીતિ થતું હોવાનું સામે આવી શકે છે. જેથી સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો યોગ્ય તપાસ થશે તો સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના કૌભાંડ સામે આવશે. જેથી અમે મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આરોગ્ય વિભાગ પાસે બધી વિગત છે પરંતુ મુખ્યમંત્રીએ રસ લઈને સિવિલ હોસ્પિટલમાં ગેરરીતિ થતી હોવાની યોગ્ય તપાસ કરવામાં આવે. નાગરિકોમાં નાણાં યોગ્ય ખર્ચમાં વપરાય તો જ નાગરિકોને સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધા મળી શકશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:47 pm

પંચમહાલ LCB દ્વારા બુટલેગરની પાસા હેઠળ અટકાયત:મોરવા હડફના ગિરીશ ઉર્ફે કીરાને સુરત મધ્યસ્થ જેલમાં મોકલાયો

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોરવા હડફ તાલુકાના વિરેનિયા ગામના લિસ્ટેડ બુટલેગર ગિરીશ ઉર્ફે કીરો રાઠોડની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર, પ્રોહીબિશનની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રીઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે LCB ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ગિરીશ ઉર્ફે કીરો રાઠોડ વિરેનિયા ગામનો રહેવાસી છે અને લાંબા સમયથી ગેરકાયદેસર દારૂના વેપારમાં સક્રિય હતો. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પંચમહાલ LCB દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપી ગિરીશ ઉર્ફે કીરા રાઠોડ વિરુદ્ધ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના બે ગુના નોંધાયેલા છે. તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:46 pm

મહીસાગરના સરસવા ગામે બે બાઇક અથડાઈ:એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ

મહીસાગર જિલ્લાના સરસવા ગામે ગત સાંજે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગત ૨ એપ્રિલની સાંજે સુખાભાઈ વાદી નામના યુવક પોતાની બાઇક લઈને ડોરી ગામે જઈ રહ્યા હતા. સરસવા ગામ પાસેથી પસાર થતી વખતે સામેથી આવતી અન્ય એક બાઇક સાથે તેમની બાઇક અથડાઈ હતી. આ અકસ્માતમાં સુખાભાઈ વાદીને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે મોરા ખાતેની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ઇજાઓની ગંભીરતાને જોતા, પ્રાથમિક સારવાર બાદ ગત રાત્રે તેમને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હાલ સુખાભાઈ વાદી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:43 pm

4 વર્ષીય માસૂમનો પગ લપસ્યો ને ઊંડા પાણીમાં ખાબકી:સુરતના સચિન GIDCમાં ઘર પાસે રમતા-રમતા આરાધ્યા નહેરમાં પડી, હોસ્પિટલમાં દમ તોડ્યો

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી એક માસૂમ બાળકી અચાનક નજીક આવેલી નહેરમાં પડી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી ઓમ ઓમ સાઈ સોસાયટીમાં પ્રદીપભાઈ વર્મા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની 4 વર્ષની લાડકવાયી પુત્રી આરાધ્યા આજે સવારના સમયે ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન તેની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. રમતા-રમતા આરાધ્યા ઘરની નજીકથી પસાર થતી નહેર પાસે પહોંચી ગઈ હતી અને અચાનક પગ લપસતા તે ઉંડા પાણીમાં ખાબકી હતી. બાળકી પાણીમાં ગરકાવ થતા જ ચીસાચીસ જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ બાળકીને બહાર કાઢી સિવિલ ખસેડીબાળકી નહેરમાં પડી હોવાની જાણ આસપાસના લોકોને થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ ભારે જહેમત બાદ બાળકીને નહેરમાંથી બહાર કાઢી હતી. આ સમયે બાળકી બેભાન અવસ્થામાં હતી. પરિવારજનો અને સ્થાનિકોએ સમય ગુમાવ્યા વગર તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ આરાધ્યાને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુંમાસૂમ આરાધ્યાના અચાનક મોતથી વર્મા પરિવાર ઊંડા શોકમાં ડૂબી ગયો છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. ઘર આંગણે રમતી દીકરી થોડી જ વારમાં કાળનો કોળિયો બની જશે એવી કલ્પના પણ પરિવારે કરી ન હતી. આ ઘટનાએ ફરી એકવાર નાના બાળકો ધરાવતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો રજૂ કર્યો છે કે, બાળકો જ્યારે ઘરની બહાર રમતા હોય ત્યારે તેમના પર સતત દેખરેખ રાખવી કેટલી અનિવાર્ય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઆ સમગ્ર મામલે સચિન GIDC પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા સોસાયટી અને નહેર આસપાસના વિસ્તારમાં પંચનામું કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:38 pm

આધેડ 5 ફૂટ દૂર ઉછળીને પટકાયા, CCTV:પરવત પાટીયામાં MP રોડવેઝની બસનો કહેર, કેમિકલ વેપારીનું કરુણ મોત; અન્ય એક ઈજાગ્રસ્ત

સુરતના પરવત પાટીયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાના કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ અડફેટે લેતા અકસ્માત સર્જાયોમળતી માહિતી મુજબ, પરવત પાટીયાની સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા ગજેન્દ્રકુમાર હુકમીચંદ જૈન (ઉં.વ. 60) બે દિવસ પહેલા પોતાની હીરો મેસ્ટ્રો મોપેડ (નંબર GJ-05-SN-4798) લઈને કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તેમની સાથે મોપેડ પર તેમના મિત્ર ચંદ્રપ્રકાશ ચંપકલાલ જૈન પણ સવાર હતા. જ્યારે તેઓ પરવત પાટીયા હનુમાન મંદિર પાસે મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી મધ્યપ્રદેશ પરિવહનની બસ (નંબર MP-46-ZE-4356)ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. CCTVમાં કેદ થયા ભયાનક દૃશ્યોઅકસ્માત એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ વેપારી ગજેન્દ્રકુમાર હવામાં 5 ફૂટ દૂર ફેંકાયા હતા અને રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે અને ડાબા કાનમાંથી પુષ્કળ લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે તેમની મોપેડ બસના આગળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી. હોસ્પિટલમાં દમ તોડ્યો, મિત્ર સારવાર હેઠળઘટના બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ગજેન્દ્રકુમાર જૈનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના મિત્ર ચંદ્રપ્રકાશ જૈનને આંખ નીચે, માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે આઈ.એન.એસ (INS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળે છે. પુણા પોલીસે ગુનો નોંધ્યોમૃતકના પુત્ર તન્મય ગજેન્દ્રકુમાર જૈન (વ્યવસાયે CA)ની ફરિયાદના આધારે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1), 281, 125(a), 125(b) અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પીએસઆઈ વી.સી. મસાણી આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:37 pm

પાટીદારોના ગઢ વોર્ડ નં-2માં પતિ-પત્ની વચ્ચે થશે જંગ?:ભાજપમાંથી ધાર્મિક માલવિયાની દાવેદારી, પત્ની મોનાલી હીરપરાએ AAPમાંથી દાવેદારી કર્યાંનો ધર્મેશ ભંડેરીનો દાવો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટા વરાછા-અમરોલી - કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ એક જ ઘરમાંથી બે અલગ-અલગ વિચારધારા અને પક્ષો સાથે જોડાયેલા પતિ-પત્નીની રાજકીય દાવેદારી છે. પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા ધાર્મિક માલવીયા અને તેમના પત્ની એડવોકેટ મોનાલી હિરપરા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. બંનેએ અલગ-અલગ પક્ષોમાંથી એક જ વોર્ડ માટે દાવેદારી નોંધાવતા ઘરની લડાઈ હવે મેદાનમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ધાર્મિક માલવીયાની ભાજપમાંથી દાવેદારીપાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના પૂર્વ કન્વીનર અને જાણીતા પાટીદાર અગ્રણી ધાર્મિક માલવીયાએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી. તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટર મોનાલી હિરપરાની AAPમાંથી દાવેદારી!બીજી તરફ, ધાર્મિક માલવીયાના પત્ની એડવોકેટ મોનાલી હિરપરા જેઓ આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી છે. તેમણે આમ આદમી પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને પ્રદેશ પ્રભારી સમક્ષ વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિરોધાભાસી નિવેદનો અને વિવાદઆ સમગ્ર મામલે ત્યારે વળાંક આવ્યો જ્યારે ધાર્મિક માલવીયા અને આપના શહેર પ્રમુખના નિવેદનો સામસામે આવ્યા છે.આપ શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મોનાલી હિરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. બહેન પોતે આવીને સેન્સ આપી ગયા છે.એમણે કહ્યું છે કે વોર્ડ નંબર-2ના લોકો માટે કામ કરવા માંગુ છું.પાર્ટી મને ઉમેદવાર તરીકે પસંદ કરશે તો ફરીથી કોર્પોરેટર બનવા માંગુ છું અને કોર્પોરેટર બનીશ. તો આ તરફ ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી દાવેદારી કરી છે. એ સાથે તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્પષ્ટ જવાબ આપ્યો કે, તેમના પત્ની આમ આદમી પાર્ટીમાં સક્રિય નથી અને રાજકીય ક્ષેત્રમાં હવે આગળ વધવા નથી માંગતા. શું પતિ-પત્ની વચ્ચે થશે ચૂંટણી જંગ?જો ભારતીય જનતા પાર્ટી ધાર્મિક માલવીયા પર પસંદગી ઉતારે અને આમ આદમી પાર્ટી મોનાલી હિરપરાને ટિકિટ આપે, તો સુરતના ઈતિહાસમાં આ એક દુર્લભ કિસ્સો બની રહેશે. એક જ ઘરના બે સભ્યો, એક જ વોર્ડમાં, બે વિરોધી પક્ષો તરફથી સામસામે ચૂંટણી લડતા જોવા મળી શકે છે.અત્યારે તો બંને પક્ષોમાં આંતરિક પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જો બંનેને ટિકિટ મળે તો વોર્ડ નંબર 2 ની ચૂંટણી માત્ર વિકાસના મુદ્દે નહીં, પણ પારિવારિક વિરુદ્ધ રાજકીય વિચારધારાના જંગ તરીકે જોવામાં આવશે. સવાલ એ છે કે, જો આવું થાય તો મતદારો કોના પર કળશ ઢોળશે? અલ્પેશ કથીરિયાની પત્નીએ પણ દાવેદારી નોંધાવીતો આ તરફ પાસના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયાના સ્થાને હવે તેમના પત્ની કાવ્યા કથીરિયાએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. કાવ્યા કથીરિયાએ આગામી ચૂંટણી માટે ભાજપમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં તેમણે સુરતના વોર્ડ નંબર 3 માટે ફોર્મ ભર્યું છે. ખાસ વાત એ છે કે, આ દાવેદારી માટેનું ફોર્મ અન્ય એક જાણીતા પાસ નેતા ધાર્મિક માલવિયા દ્વારા ભરવામાં આવ્યું હતું, જે આ ફેરબદલ અને રાજકીય સમીકરણોમાં નવી ચર્ચા જગાવી રહ્યું છે. પાટીદોરાના ગઢમાં આપનો દબદબોવોર્ડ નંબર 2માં સૌથી વધુ પાટીદાર વસ્તી છે. આ સાથે જ સુરત શહેરનો સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ છે. 2021માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવાર અહીંથી જીત્યા હતા.ત્યારબાદ ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા.જ્યારે રાજેશ મોરડીયાને આમ આદમી પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ વોર્ડમાં માત્ર એક જ કોર્પોરેટર એડવોકેટ મોનાલી હિરપરા રહ્યા હતા.પાટીદારોના ગઢ ગણાતા આ વોર્ડમાં આપનો પણ દબદબો રહ્યો છે. ત્યારે હવે ભાજપ પણ પાટીદાર ને જ ઉભો રાખીને આપને ટક્કર આપે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જોકે ભાજપમાં જ દાવેદારી કરનાર ધાર્મિક માલવયાની પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા ચર્ચાનો વિષય બન્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:21 pm

રાજ્યપાલના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને PhD ડિગ્રી એનાયત:ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને પીએચ.ડી. (P.H.D.) ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ પદવીદાન સમારોહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જે યુનિવર્સિટીનો ૧૦મો પદવીદાન સમારોહ હતો. ડૉ. અર્જુન નિમાવતએ ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું છે. તેમના આ મહત્વપૂર્ણ સંશોધનને શૈક્ષણિક જગતમાં મૂલ્યવાન યોગદાન તરીકે ઓળખવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડૉ. નિમાવતને ડિગ્રી એનાયત કરતી વખતે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજે જણાવ્યું હતું કે પદવી આપવી એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ પરિશ્રમનું પરિણામ છે. આ પદવીદાન સમારોહમાં ભાવનગર મહારાણી સંયુક્તા કુમારી, સંસદ નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવેશભાઈ જાની સાહેબ અને વિવિધ વિભાગોના અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:20 pm

સગીરા પર દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી:મહેંદી શીખવા જતી ત્યારે પ્રેમજાળમાં ફસાવી એકલતાનો લાભ ઉઠાવ્યો; આરોપી સીરાજ ગણતરીની કલાકોમાં જ જેલહવાલે

ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ અને પોક્સો હેઠળનો ગંભીર ગુનો નોંધાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મહેંદી શીખવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મજબૂરી અને એકલતાનો લાભ લેનાર 19 વર્ષીય શખસને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. સોશિયલ મીડિયાથી શરૂ થયો સિલસિલો પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરા ઓનલાઇન મહેંદી ક્લાસ શોધતી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની મુલાકાત વેરાવળમાં જ રહેતી અને મહેંદી શીખવતી અન્ય એક સગીરા સાથે થઈ હતી. પીડિતા ત્યાં મહેંદી શીખવા જતી હતી. આ દરમિયાન મહેંદી શીખવનાર સગીરાના ભાઈ મહમદ સીરાજ ઇમરાનભાઈ ચૌહાણ (ઉં. 19)એ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વાતચીત શરૂ કરી હતી. વિશ્વાસઘાત અને બળજબરી આશરે 15 દિવસ પૂર્વે જ્યારે પીડિતા હંમેશ મુજબ મહેંદી શીખવા માટે આરોપીના ઘરે ગઈ હતી, ત્યારે આરોપી મહમદ સીરાજે રૂમમાં એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરાને વાતોમાં ફસાવી, તેની સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ફોટોએ ખોલ્યો પાપનો ઘડો આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતાના પરિવારે તેના મોબાઈલમાં આરોપી સાથેનો ફોટો જોયો હતો. પરિવારે કડકાઈથી પૂછપરછ કરતાં પીડિતા ભાંગી પડી હતી અને પોતાની સાથે થયેલી આપવીતી માતાને જણાવી હતી. દીકરીની કેફિયત સાંભળી ચોંકી ઉઠેલા માતાએ તાત્કાલિક વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચ્યો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી PI જે.એન. ગઢવીની આગેવાનીમાં સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ 64(1) તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 3(એ) અને 4 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના જોખમો અને સગીર બાળકોના ઓનલાઇન સંપર્કો પ્રત્યે વાલીઓએ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પોલીસની આ ત્વરિત કામગીરીને વેરાવળના નગરજનોએ બિરદાવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:19 pm

બોટાદમાં નવકાર રેસિડેન્સી દ્વારા હનુમાન જયંતિ ઉજવાઈ:રામધૂનનું આયોજન, બાળકો હનુમાન વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

બોટાદના પાળીયાદ રોડ પર આવેલી નવકાર રેસિડેન્સી દ્વારા ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં રેસિડેન્સીના તમામ રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પાળીયાદ રામધૂન મંડળી દ્વારા ઢોલ, કરતાલ અને સંગીતના સથવારે રામધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. આયોજકોમાંથી એક વ્યક્તિ પણ હનુમાનજીના વેશમાં આવીને ભક્તો સાથે રામધૂનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સોસાયટીના બાળકો હનુમાનજી, સીતા, રામ અને લક્ષ્મણના વેશભૂષામાં સજ્જ થઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ ઉમેર્યો હતો. નવકાર રેસિડેન્સી દ્વારા ધાર્મિક તહેવારોની નિયમિતપણે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણીનું આ દ્વિતીય વર્ષ હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:02 pm

પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી કોંગ્રેસમાં પાછા ફર્યા:100થી વધુ કાર્યકરો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા અતુલ ભંડેરીએ ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે 100થી વધુ કાર્યકરો અને સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. જામનગર શહેરના વોર્ડ નંબર 16ના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, જયેશ દોમડીયા અને રાજેશ વાઘેલા સહિત 100થી વધુ યુવાનો અને આગેવાનો કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરિત થઈ કોંગ્રેસ પરિવારમાં સામેલ થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત જામનગર શહેર કોંગ્રેસની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અતુલ ભંડેરી અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જોકે, ભાજપમાં તેમના કાર્યોની અવગણના અને અધૂરા વચનોથી તેઓ નારાજ હતા. આગામી મહાનગરપાલિકા ચૂંટણી લડવાની તૈયારીઓ વચ્ચે તેમણે ફરી પોતાની જૂની પાર્ટીમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના સ્થાનિક અને પ્રદેશ સ્તરના આગેવાનો દ્વારા અતુલ ભંડેરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા, જેનાથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:01 pm

તલગાજરડામાં હનુમંત ઉત્સવ સંપન્ન:જીવનની ઊર્જા વધારતા સાત આહારની મોરારિબાપુએ કરી વ્યાખ્યા

તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં છેલ્લા 48 વર્ષથી યોજાતો હનુમંત સંગીત નૃત્ય મહોત્સવ આ વર્ષે પણ ભવ્ય રીતે સંપન્ન થયો. હનુમાન જયંતીના પાવન અવસરે 49 માં ચતુર્દિવસીય મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ ક્ષેત્રના 13 જેટલા કલાધરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શબાના આઝમીએ અનુભવી સામાજિક જવાબદારી હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને ‘નટરાજ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા. સન્માન સ્વીકારતા તેમણે જણાવ્યું કે, તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, પરંતુ મોરારિબાપુના હસ્તે મળેલું આ સન્માન હૃદયસ્પર્શી છે અને તેનાથી તેમની સામાજિક જવાબદારી વધી હોય તેવો અનુભવ થાય છે. તેમણે કલા દ્વારા સામાજિક ક્રાંતિ લાવવાની મક્કમતા પણ વ્યક્ત કરી હતી. મોરારિબાપુનું ઊર્જાસભર માર્ગદર્શન આ પ્રસંગે આશીર્વચન આપતા પૂજ્ય બાપુએ જીવનની ઊર્જાને ઉર્ધ્વગામી બનાવતા ‘સાત આહાર’ વિશે વાત કરી. તેમણે ગાયન, વાદન, નર્તન, એકાંત, મૌન, મંત્ર અને ભજનને આહાર ગણાવ્યા. બાપુએ ઉમેર્યું કે, હનુમાનજી મહારાજ આ કળાઓથી પ્રસન્ન થાય છે અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરે છે. 13 પ્રતિભાઓનું બહુમાન મહોત્સવમાં સુસાઈ કન્નૂ કુલંદેઈ સામી (સદ્ભાવના એવોર્ડ), કનુ પટેલ (કૈલાસ લલિતકલા એવોર્ડ), શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી (અવિનાશ વ્યાસ એવોર્ડ) તેમજ વસંતકુમાર મ. ભટ્ટ (વાચસ્પતિ એવોર્ડ) ને સન્માનિત કરાયા. શુચિતા વાય. મહેતાને ભામતી એવોર્ડ, જ્યારે રમેશભાઈ બી. નાયક, અરવિંદ વૈદ્ય અને કંવરજીત પેન્ટલને નટરાજ એવોર્ડ અપાયા. હનુમંત એવોર્ડ મેળવનારાઓમાં રતિકાંત મહાપાત્ર, ઓજસ અઢિયા, દેબાશીશ ભટ્ટાચાર્ય અને કૌશિકી ચક્રબર્તીનો સમાવેશ થાય છે. તમામ વિજેતાઓને રોકડ રાશિ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરાયા હતા. આ સમારોહમાં સંતોષદાસજી મહારાજ, મુરલી બાબા અને ગોપાલબાબા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંચાલક હરિશ્ચંદ્ર જોશીની 50 વર્ષની સેવાને પણ બાપુએ બિરદાવી હતી. સમગ્ર આયોજન જયદેવભાઈ માંકડ અને નિલેશભાઈ વાવડીયાના સહયોગથી સફળ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:56 pm

વલસાડના દરિયાકિનારેથી સુરતના રત્નકલાકારનો મૃતદેહ મળ્યો:ઘરેથી ઓફિસે જવાનું કહીને નીકળ્યા ને વલસાડ પહોંચી ગયા; PM રિપોર્ટમાં મોતનું કારણ અસ્પષ્ટ, FSL રિપોર્ટની રાહ

વલસાડના તિથલ દરિયાકિનારે પથ્થરો વચ્ચેથી સુરતના 46 વર્ષીય રત્નકલાકાર ભરતભાઈ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. વલસાડ સિટી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, પરંતુ પ્રાથમિક પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા અપાયેલા પ્રોવિઝનલ ડેથ સર્ટિફિકેટ મુજબ, ભરતભાઈના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તબીબોએ જણાવ્યું છે કે FSL અને હિસ્ટો-પેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પૂરતું મોતનું કારણ 'પેન્ડિંગ' રાખવામાં આવ્યું છે. મૃતક ભરતભાઈ હરજીભાઈ પટેલ (રહે. ઓપેરા પેલેસ, કામરેજ, સુરત) હીરા ઘસવાનું કામ કરતા હતા. તેઓ ઘરેથી ઓફિસે જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ કોઈને જાણ કર્યા વગર વલસાડ પહોંચી ગયા હતા. ઘટનાસ્થળેથી પોલીસને કાળા રંગની ટિફિન બેગ મળી હતી, જેમાં ટિફિન ભરેલું જ હતું. આ દર્શાવે છે કે તેમણે જમવાનું લીધું નહોતું. બેગમાંથી સુરતથી વલસાડની ટ્રેન ટિકિટ અને આધારકાર્ડની ઝેરોક્ષ પણ મળી હતી, જેના આધારે તેમની ઓળખ થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા ભરતભાઈ શાંત સ્વભાવના અને કામમાં વ્યસ્ત રહેતા વ્યક્તિ હતા. તેમના નિધનથી 11 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પત્ની સાવિત્રીબેન અને પરિવાર આઘાતમાં છે કે જે વ્યક્તિ ક્યારેય એકલા ક્યાંય જતા નહોતા, તે અચાનક વલસાડ કેવી રીતે પહોંચ્યા. વલસાડ સિટી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન અને વિસેરા (Viscera) રિપોર્ટમાં કોઈ ઝેરી તત્વની હાજરી અંગે તપાસ કરી રહી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉંચકાશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:38 pm

ચંદ્રુમાણામાં હનુમાન જયંતિ ઉજવાઈ:સંકટમોચન મંદિરે 11મો જન્મોત્સવ ધામધૂમથી યોજાયો

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરે 11મો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં બિરાજમાન શ્રી હનુમાનજી દાદા અને શ્રી ભૈરવ દાદાને સિંદૂર અને ફૂલહારનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આનંદના ગરબા મંડળ દ્વારા માતાજીના ગરબા, સ્તવનો, હનુમાન ચાલીસા અને હનુમાનજીના ભજનો રજૂ કરાયા હતા. દત્ત મંડળ દ્વારા દત્ત ધૂન જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેણે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ પ્રસંગે કાંતિભાઈ પટેલ, દત્ત મંડળ અને કમલેશભાઈ વ્યાસ દ્વારા વડા, ચણા, બુંદી અને દ્રાક્ષના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરતભાઈ રાવલ, પ્રમોદભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, પુજારી ઈચુ મહારાજ, કાંતિભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, અશ્વિનભાઈ વ્યાસ, વિઠાભાઇ પટેલ, કનુભાઈ વ્યાસ, શીવાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, બહેનો અને બાળકોએ હનુમાનજી દાદાની ભક્તિ કરી હતી. ઈચુપુરી જયંતીભાઈ ઠાકોર અને મથુરભાઈ ઠાકોરે મંદિરની સ્વચ્છ પાણી વડે સાફ-સફાઈ કરી સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:38 pm

વેરાવળમાં કમોસમી વરસાદથી સુભાષ રોડ પર પાણી ભરાયા:વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી મિક્સ થતા વેપારીઓ-રાહદારીઓને હાલાકી

વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા સુભાષ રોડ અને તપેશ્વર રોડ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ બંધ થયા બાદ મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હતા, પરંતુ સુભાષ રોડ નીચો હોવાને કારણે ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર વહેવા લાગ્યા હતા. આના કારણે વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે નગરપાલિકાને લેખિત અને મૌખિક રીતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જોકે, આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ઉભરાતી ગટરો અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની આ સમસ્યા અંગે સ્થાનિક નગરસેવકોને પણ વારંવાર રજૂઆતો કરાઈ છે. વેપારીઓની માંગ છે કે તંત્ર આ બાબતે ધ્યાન આપીને પાકા રોડ રસ્તાઓ બનાવે, ગટરોનું યોગ્ય સમારકામ કરે અને પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:34 pm

કેશોદમાં સ્થાનિકોનો પાણી માટે પોકાર:​5 દિવસે આવતા ગંદા પાણીથી જનતા પરેશાન, 200 રૂપિયાના ટેન્કર લેવા મધ્યમ વર્ગ મજબૂર, તંત્રના દાવા પોકળ ચીફ ઓફિસરે કહ્યુંપાઇપલાઇનમાં ભંગાણ થયું.

​કેશોદ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા નાગરિકો અત્યારે પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર અગાઉ શહેરમાં એકાંતરે પાણી આપવામાં આવતું હતું જેના કારણે જીવનનિર્વાહમાં કોઈ મોટી તકલીફ પડતી નહોતી પરંતુ હાલની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. હવે પાંચ થી છ દિવસના લાંબા અંતરાલ પછી માંડ એકવાર પાણીના દર્શન થાય છે. આટલા લાંબા વિરામ બાદ જ્યારે પાણી આવે છે ત્યારે પણ તેનો સમય ગાળો માત્ર ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેટલો જ મર્યાદિત રાખવામાં આવ્યો છે. ​પાણીના વિતરણમાં માત્ર સમયની જ મર્યાદા નથી પણ ગુણવત્તાનો પણ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. સુનીલભાઈ નામના સ્થાનિક નાગરિકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે જ્યારે પાંચ દિવસે પાણી આવે છે ત્યારે તેની શરૂઆતની પંદર મિનિટ સુધી તો અત્યંત દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી નળમાં આવે છે. આ વાસ મારતા પાણીનો રસોઈ કે પીવા માટે તો ઠીક પણ અન્ય કોઈ ઘરકામમાં પણ ઉપયોગ કરી શકાતો નથી. આમ ગણતરી કરતા અડધો કલાક જેટલું જ વાપરવા લાયક પાણી મળે છે જે મોટા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સાવ અપૂરતું સાબિત થાય છે. લોકોમાં એ વાતનો પણ ભારે રોષ છે કે નેતાઓ માત્ર ચૂંટણી વખતે જ મત માંગવા ઘરે આવે છે અને વાયદાઓ કરે છે પરંતુ સત્તા મળ્યા પછી પાંચ વર્ષ સુધી જનતાની પાયાની જરૂરિયાતો જોવા પણ કોઈ આવતું નથી. ​આ જળ સંકટની સૌથી વધુ માઠી અસર મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર પડી રહી છે. ઉર્મિલાબેન ખાનવાણીએ આ અંગે જણાવ્યું હતું કે પાણી વગર ઘરના તમામ કામકાજ થંભી ગયા છે. પાંચ-છ દિવસે પાણી આવતું હોવાથી અને ઘરમાં રહેલા ટાંકા ખાલી થઈ જતા હોવાથી મજબૂરીવશ ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે. અત્યારે પાણીના એક ટાંકા દીઠ બસો રૂપિયા જેવો મોંઘો ભાવ વસૂલવામાં આવે છે. રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો માટે દર અઠવાડિયે આટલો મોટો ખર્ચ કરવો અશક્ય બની રહ્યો છે. ગૃહિણીઓ માટે સ્થિતિ એવી સર્જાઈ છે કે મર્યાદિત પાણીમાં રસોઈ કરવી, કપડાં ધોવા કે નાહવા-ધોવાનું કામ પતાવવું તે એક મોટો પડકાર છે. ​કેશોદના જળ પ્રશ્નના ઉકેલ માટે લોકોએ 'મુંડિયા વાવ' નામના કુવા તરફ આશા વ્યક્ત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ કુવો છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં પડ્યો છે. જો નગરપાલિકા દ્વારા આ કુવાને પુનઃજીવિત કરવામાં આવે તો આસપાસના પાંચસો થી છસો લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ​બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ જણાવ્યું હતું કે અજાબ નજીક નગરપાલિકાની મુખ્ય પાણી વિતરણની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાવાના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. આ લાઈનના રિપેરિંગમાં બે દિવસ જેટલો સમય લાગ્યો હોવાથી શહેરમાં પાણી પહોંચાડવામાં વિલંબ થયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉનાળાને કારણે પાણીની માંગમાં ભારે વધારો થયો છે અને ભૂગર્ભ જળના સ્તર નીચા ગયા હોવાથી પાલિકાના પોતાના બોરવેલ પૂરતું પાણી આપી શકતા નથી. ​કેશોદ નગરપાલિકાએ પાણી પુરવઠા વિભાગ પાસે વધારાના બે એમ.એલ.ડી. પાણીની માંગણી કરી હતી જે હવે મળવાનું શરૂ થઈ ગયું છે. હવે શહેરને કુલ આઠ એમ.એલ.ડી. પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેનાથી આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની આશા છે. લાંબા ગાળાના આયોજન તરીકે ઓઝત નદીમાંથી રો-વોટર મેળવી તેને ફિલ્ટર કરી આખા શહેરને આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે જે પ્રોજેક્ટ અત્યારે સૈદ્ધાંતિક મંજૂરીના તબક્કે હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ કેશોદની જનતા અત્યારે તંત્રના નવા વાયદાઓ અને અમલીકરણની રાહ જોઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:25 pm

SVM શાળામાં ફી વધારા મુદ્દે NSUIની રજૂઆત:એક સપ્તાહમાં કાર્યવાહી ન થતાં ઉગ્ર આંદોલનની ચીમકી

જામનગરની એસવીએમ શાળામાં ફી વધારા અને અન્ય ગેરરીતિઓ સામે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. આ મામલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. NSUIના જણાવ્યા અનુસાર, શાળા દ્વારા નર્સરીથી ધોરણ 10 સુધીમાં સરેરાશ 35 થી 45 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારા માટે કોઈ યોગ્ય કારણો કે પારદર્શિતા આપવામાં આવી નથી, જેના કારણે વાલીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે. આ ઉપરાંત, શાળા પર ફી અલગ-અલગ શીર્ષક હેઠળ વસૂલવાનો આક્ષેપ છે. કાયદેસર ફી ઉપરાંત 'દાન' તરીકે પણ રકમ લેવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જે નાણાકીય પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા કરે છે. કેમ્બ્રિજ પાઠ્યક્રમ અંગે પણ શાળા પર ભ્રામક માહિતી આપવાનો આક્ષેપ છે. NSUI એ જણાવ્યું કે શાળા સંપૂર્ણ કેમ્બ્રિજ પદ્ધતિનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં માત્ર એક જ પુસ્તક કેમ્બ્રિજનું છે અને બાકીના પુસ્તકો સ્થાનિક પ્રકાશકોના છે. દિવસીય શાળા પદ્ધતિ ફરજિયાત બનાવવા અને કેમ્બ્રિજ કેન્દ્ર માટે અનુભવી શિક્ષકોની અછત મુદ્દે પણ વાલીઓમાં નારાજગી છે. NSUI એ વધુમાં આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલક ડૉ. હેમાંગ પારેખ દ્વારા વાલીઓને છોડપત્ર (LC) લઈ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને NSUI એ જિલ્લા શિક્ષણાધિકારીને યોગ્ય તપાસ કરીને કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. NSUI એ ચેતવણી આપી છે કે જો એક સપ્તાહની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો DEO કચેરીના દ્વારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:25 pm

'અમે તો નિયમો પાળીશું, પણ લારીઓવાળાનું શું?':પનીર અસલી છે કે એનાલોગ'ના ફરજિયાત બોર્ડ મારવાના નિર્ણય સામે હોટલ એસો. મેદાને, 'સમગ્ર ફૂડ સેક્ટરમાં નિયમ લાગુ કરો'

રાજ્ય સરકારે તાજેતરમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં પીરસવામાં આવતા પનીર બાબતે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવેથી દરેક સંચાલકે પોતાની હોટલમાં સ્પષ્ટપણે બોર્ડ મારવું પડશે કે તેઓ જે પનીર વાપરે છે તે દૂધમાંથી બનેલું 'અસલી પનીર' છે કે વનસ્પતિ તેલમાંથી બનેલું 'એનાલોગ પનીર'. સરકારના આ આદેશ બાદ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. આ મામલે હવે 'સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન' મેદાને આવ્યું છે. એસોસિએશને સરકારના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે જ સ્ટ્રીટ ફૂડ અને લારીઓ પર મળતા પનીર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગ્રાહકો સાથે છેતરપિંડી રોકવા સરકારનો માસ્ટરપ્લાનરાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થોના વધતા જતા દૂષણને રોકવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે. હોટલોમાં પનીરના નામે એનાલોગ પનીર (જેમાં દૂધના ફેટને બદલે સસ્તું પામોલિન તેલ વાપરવામાં આવે છે) પીરસવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પનીર સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે. હવે સરકારે ફરજિયાત કર્યું છે કે ગ્રાહકને ખબર હોવી જોઈએ કે તે શું ખાઈ રહ્યો છે. જો કોઈ હોટલ એનાલોગ પનીર વાપરતી હશે, તો તેણે મોટા અક્ષરે મેનુ અથવા હોટલના પ્રવેશદ્વાર પર તેની જાહેરાત કરવી પડશે. 'સમાજને સારી ગુણવત્તાનું ભોજન પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ'સરકારના આદેશ અંગે પ્રતિક્રિયા આપતા સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, 'અમે સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. દક્ષિણ ગુજરાતના તમામ હોટલ સંચાલકો આ સૂચનાનું 100% પાલન કરશે. અમે હંમેશા કાયદાનું સન્માન કરીએ છીએ અને સમાજને સારી ગુણવત્તાનું ભોજન પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ.' તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રતિષ્ઠિત હોટલો પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે પહેલેથી જ FSSAI ના નિયમો પાળે છે અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનો જ આગ્રહ રાખે છે. 'અમે બોર્ડ મારીશું, પણ લારીઓ પર કોણ નજર રાખશે?'સનત રેલિયાએ હોટલિયર તરીકે નહીં, પણ એક સામાન્ય નાગરિક તરીકે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, 'અમે તો લાયસન્સધારકો છીએ એટલે બોર્ડ લગાવીશું, પણ જે લારીઓ પર પનીરની વાનગીઓ વેચાય છે તેનું શું? આ લારીઓ પાસે ન તો FSSAI લાયસન્સ છે, ન તો GST કે ગુમાસ્તા ધારાનું રજિસ્ટ્રેશન. આ લારીઓવાળા તેલ, ઘી કે પનીર ક્યાંથી લાવે છે અને તે કેટલું શુદ્ધ છે તેની કોઈ ગેરંટી નથી. શું તેઓ બોર્ડ મારશે કે તેઓ નકલી કે એનાલોગ પનીર વાપરે છે?' સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ પાસે કોઈ ચોક્કસ સરનામું કે નોંધણી હોતી નથીએસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે, મોટો વર્ગ અને ખાસ કરીને યુવા પેઢી તેમજ વિદ્યાર્થીઓ તેમના મર્યાદિત બજેટને કારણે લારીઓ પર ખાવાનું પસંદ કરતા હોય છે. લોકો પ્રોટીન મેળવવાની આશાએ પનીર ખાય છે, પરંતુ લારીઓ પર વેચાતું પનીર જો અનઅપ્રૂવડ અને નકલી હોય તો તે યુવા પેઢીના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ પાસે કોઈ ચોક્કસ સરનામું કે નોંધણી હોતી નથી, જેથી કોઈ અઘટિત ઘટના બને તો તેમને પકડવા પણ મુશ્કેલ છે. માત્ર હોટલ-રેસ્ટોરન્ટ પર કાયદા લાદવાને બદલે સમગ્ર ફૂડ સેક્ટરને આવરી લેવામાં આવે. તેમણે કહ્યું કે, આમ, પનીર મુદ્દે સરકારના આદેશ બાદ હવે આગામી દિવસોમાં લારી-ગલ્લાઓ પર તવાઈ આવે છે કે કેમ તે જોવું રહ્યું. એનાલોગ પનીર 'અનસેફ' નથી, પણ તેને 'સબ-સ્ટાન્ડર્ડ' કહી શકાયવડોદરા હોટેલ ઓનર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમલ મહેતાએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને ઘણો ફાયદો થશે. FSSAIના ધોરણો મુજબ ખોરાકને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ફૂડ, સબ-સ્ટાન્ડર્ડ ફૂડ અને અનસેફ ફૂડ. એનાલોગ પનીર 'અનસેફ' નથી, પણ તેને 'સબ-સ્ટાન્ડર્ડ' કહી શકાય, કારણ કે, તેનું નામ પનીર જેવું છે, પણ તે અસલી પનીર નથી. તે ખાવાલાયક તો છે જ, પરંતુ સરકારનો ઉદ્દેશ્ય પારદર્શિતા લાવવાનો છે. જો તમે એનાલોગ પનીર વાપરતા હોવ તો એનું બોર્ડ લગાવો અને જો શુદ્ધ પનીર હોય તો એનું બોર્ડ લગાવો. આ સારી વાત છે. અમે તેને આવકારીએ છીએ. અગાઉ FSSAIની મીટિંગમાં પણ અમને આ બાબતે જાણ કરાઈ હતીતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી આ સૂચના તો હમણાં ફરી આવી છે પણ અગાઉ FSSAIની એક મીટિંગમાં પણ અમને આ બાબતે જાણ કરવામાં આવી હતી. વડોદરાની ઘણી હોટેલોએ તો ત્યારે જ બોર્ડ લગાવી દીધા હતા કે તેઓ કયા પ્રકારનું પનીર વાપરે છે. તે લખવું હવે ફરજિયાત છે. રાજ્ય સરકારે એનાલોગ પનીર વાપરવાની ના નથી પાડી. માત્ર એટલું જ કહ્યું છે કે જો તમે એનાલોગ વાપરીને ગ્રાહકોને સસ્તી વાનગી પીરસવા માંગતા હોવ, તો બોર્ડ પર તે સ્પષ્ટ જણાવો. આનાથી ગ્રાહકને ખબર પડશે કે તેઓ શું ખાઈ રહ્યા છે અને એ મુજબ તેની કિંમત ચૂકવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:24 pm

દેસાઈ પરિવારે દેહદાનથી મહેકાવી માનવતા:અંધશ્રદ્ધા છોડી ગ્રીન આર્મીના પર્યાવરણ પ્રેમી પરિવારે 80 વર્ષીય મોભીનું દેહદાન કર્યું

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગરના ઉખરલા (તા. શિહોર) ના વતની 80 વર્ષીય દેવરાજભાઈ પ્રેમજીભાઈ દેસાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી પરોપકારની જ્યોત જલતી રાખી છે. અંધશ્રદ્ધાથી દૂર રહીને તેમણે જીવતા જગતિયું કરી સમાજને નવી રાહ ચીંધી છે. માધવાનંદ આશ્રમમાં અન્નક્ષેત્ર હોય કે ચાંનોદમાં ગાયોની સેવા, દેવરાજભાઈ હંમેશા અગ્રેસર રહ્યા હતા. ગ્રીન આર્મી સાથે જોડાઈને તેમણે 150 થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારની પરંપરા અને સંકલ્પદેસાઈ પરિવારમાં જન્મદિવસ, લગ્ન કે પુણ્યતિથિ જેવા દરેક પ્રસંગોની ઉજવણી વૃક્ષારોપણ, નેત્રદાન અને અંગદાન જાગૃતિના કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે. આ સંસ્કારોને વરેલા પરિવારે દેવરાજભાઈના અવસાન બાદ તેમના દેહને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસાર્થે અર્પણ કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. આ માટે લોક દ્રષ્ટિ આઈ બેન્ક અને રેડ ક્રોસ બ્લડ સેન્ટરના ડો. પ્રફુલ્લભાઈ શિરોયા અને દિનેશભાઈ જોગાણીનો સંપર્ક કરી સંકલ્પ પત્ર ભરવામાં આવ્યું હતું. સમાજ માટે પ્રેરણારૂપ કાર્યપુત્ર ધનસુખભાઈ, બિપીનભાઈ, પ્રવીણભાઈ અને પૌત્રી ડો. સ્મિતા દેસાઈ સહિત સમગ્ર પરિવારે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રીન આર્મીના સૈનિકો અને પટેલ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પરિવારની માનવતાવાદી ભાવનાને બિરદાવી હતી. ‘જીતે જીતે રક્તદાન, જાતે જાતે અંગદાન’ ના સૂત્રને દેસાઈ પરિવારે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:21 pm

હિંમતનગરમાં રેડક્રોસ ભવન પાછળ આગ:સુકા ઘાસ અને ઝાડના કારણે વધુ પ્રસરી, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા; ફાયર ટીમે 5000 લિટરથી વધુ પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી

હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા રેડક્રોસ ભવન અને ભગિની સમાજની બિલ્ડિંગ પાછળ ખુલ્લી જગ્યામાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. સુકા ઘાસ અને ઝાડમાં લાગેલી આ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા પોલીસ અને ફાયર ટીમને જાણ કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ જોતજોતામાં ઝડપથી પ્રસરી રહી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. હિંમતનગર નગરપાલિકાના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગની જાણ થતાં જ પ્રથમ એક મિની બ્રાઉઝર સાથે ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, આગ વધુ પ્રસરી હોવાથી બીજા મોટા બ્રાઉઝરની મદદ લેવામાં આવી હતી. ફાયર ટીમે અંદાજે એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ કામગીરીમાં 5000 લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:20 pm

દ્વારકામાં ગટર યોજનાનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય પબુભા માણેકે વિકાસ અને ચૂંટણી મુદ્દે નિવેદન આપ્યું

દ્વારકા શહેરના ગોવાળયાધામ વિસ્તારમાં ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે આ યોજનાનો પ્રારંભ થયો હતો. આ યોજનાથી વિસ્તારના લોકોને ગટર સમસ્યામાંથી રાહત મળશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે આગામી તાલુકા પંચાયતની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે દ્વારકા તાલુકામાં અનેક વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને ભવિષ્યમાં વધુ કાર્યો હાથ ધરવામાં આવશે. તેમણે કાર્યકરોને ચૂંટણી માટે સજ્જ રહેવા અને વિકાસના મુદ્દે જનતા સમક્ષ જવાનું આહ્વાન કર્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:15 pm

અશાંતધારો અમલમાં છતાં મિલકતના સોદાઓમાં ભ્રષ્ટાચાર?:SDMના ડ્રાઈવરના ઓડિયો-વીડિયો વાયરલ, આરોપી મોમીન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસનો ધમધમાટ

ભાવનગર શહેરમાં અશાંતધારો અમલી હોવા છતાં પડદા પાછળ મિલકતના સોદાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા ચકચાર મચી હતી. ક્રેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં હિન્દુ માલિકીના કોમર્શિયલ કોમ્પ્લેક્ષના વેચાણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી અપાવવાના બહાને SDMના જ ડ્રાઈવરે લાખો રૂપિયાની માગણી કરી હતી. જે મામલે 17 દિવસ બાદ મદદનીશ કલેક્ટરે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. અધિકારીના નામનો ખોટો ઉપયોગ કરી ડ્રાઈવરની નાણાકીય લેવડ-દેવડશહેરમાં અશાંતધારા વચ્ચે મિલકત સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને મામલો વધુ ગરમાયો છે. નિલમબાગ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કલેકટર કચેરીએ મારૂતિ મેન પાવર એજન્સી મારફતે આઉટસોર્સિંગ હેઠળ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મોમીન એમ.પઠાણે પોતાના હોદાનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. ગત તા. 17 માર્ચ 2026ના રોજ સાંજના સમયે મોમીન એમ.પઠાણના ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હતા. આ ઓડિયો-વીડિયોમાં શખ્સ દ્વારા કલેક્ટર કચેરી અને અધિકારીઓના નામ-હોદાનો ખોટો ઉપયોગ કરીને નાણાકીય લેવડ-દેવડ કરતા હોવાના સંવાદ હતો. એટલું જ નહીં, કચેરીના દસ્તાવેજોના અનધિકૃત રીતે ફોટોગ્રાફ લઈ અને તે આધાર પર વાતચીત કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો. આરોપી મોમીન પઠાણે દસ્તાવેજો લીક કર્યાંફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોમીન પઠાણને કોઈપણ સરકારી દસ્તાવેજ કે તેની માહિતી જાહેર કરવાનો અધિકાર ન હોવા છતાં તેણે ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા દસ્તાવેજો લીક કર્યા હતા અને કચેરીના નામે નાણાંની માંગણી કરતો હતો. આ સમગ્ર ઘટનાને ગંભીર ગેરરીતિ ગણાવી મદદનીશ કલેક્ટરે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જેના આધારે નિલમબાગ પોલીસે મોમીન એમ.પઠાણ વિરુદ્ધ BNS કલમ 318(2), 212, 204, 228 અને 356 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહીયાની બદલી થઈઅત્રે ઉલેખિનય છે કે, મોમીનનો ઓડિયો-વિડિઓ સોશલ મીડિયામાં વાઈરલ થયા બાદ ભારે ચકચાર મચી હતી. તે પૂર્વે જ ભાવનગરના મદદનીશ કલેકટર પ્રતિભા દહીંયાંની બદલીનો ઓર્ડર રાજેસ્થાન થવા પામ્યો હતો, જે ઓર્ડર થી સરકારી કર્મચારી વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:13 pm

PI આકાશ બારસીયાની જામનગર બદલી:દ્વારકા પોલીસ સ્ટેશનમાં ભાવભીની વિદાય અપાઈ

દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આકાશ બારસીયાની જામનગર ખાતે બદલી થતાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ વિદાય સમારંભ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો.આ પ્રસંગે પોલીસ સ્ટાફ, હોટલ એસોસિએશનના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ PI બારસીયાને તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આકાશ બારસીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PSI તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને દ્વારકા પોલીસ સ્ટેશનમાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.તેમની નોંધપાત્ર કામગીરીમાં હર્ષદ મંદિર શિવલિંગ ચોરી કેસ અને તાજેતરની લૂંટના આરોપીઓને ઝડપી પાડવાનો સમાવેશ થાય છે. તેમણે પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું હતું.હવે તેઓ જામનગર ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ફરજ બજાવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:04 pm

મોરબી મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા:52 બેઠકો માટે દરેક વોર્ડમાંથી સરેરાશ 30-40 દાવેદારો, પક્ષમાં ઉત્સાહ

મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણી લડવા માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં એક-એક વોર્ડમાંથી સરેરાશ 30 થી 40 જેટલા ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી ધારાસભ્ય અમિત શાહ, પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિર ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દ્વારા ક્રમશઃ એક પછી એક વોર્ડના દાવેદારોને બોલાવીને તેમની સેન્સ લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 4 જેટલા વોર્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ટંકારા તથા વાંકાનેર નગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ 179 બેઠકો માટે કુલ 580 જેટલા દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં માળિયા, વાંકાનેર, ટંકારા, હળવદ તથા મોરબી તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો તેમજ તાલુકા પંચાયતની બેઠકો અને વાંકાનેર તેમજ ટંકારા નગરપાલિકાની બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી. આજે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેમાં પ્રથમ વોર્ડથી જ આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં સરેરાશ 30 થી 40 જેટલા આગેવાનો દ્વારા ટિકિટ માટેની દાવેદારી કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધીમાં મોરબી મહાનગરપાલિકા તથા માળિયા નગરપાલિકાની બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ સંકલનની બેઠક મળશે અને તેમાં દાવેદારોની પેનલ નક્કી કરીને પ્રદેશમાં નામ મોકલાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 2:01 pm

સાબરકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ:વડાલી તાલુકા પંચાયતની સેન્સ પૂર્ણ, અન્ય સ્થળોએ પ્રક્રિયા ચાલુ

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો, ત્રણ નગરપાલિકાઓ અને એક નગરપાલિકાની પેટાચૂંટણી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજે વડાલી તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે તલોદ, પ્રાંતિજ તાલુકા પંચાયત અને હિંમતનગર નગરપાલિકાની પ્રક્રિયા ચાલુ છે. આ સેન્સ પ્રક્રિયા ગઈકાલે ગુરુવારે સવારે 9 વાગ્યે હિંમતનગરના કળશ પાર્ટી પ્લોટ ખાતે શરૂ થઈ હતી. પ્રથમ દિવસે સાંજે 7.30 વાગ્યા સુધીમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો સામે 120 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત, ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠકો સામે 62, વિજયનગરની 18 બેઠકો સામે 56, હિંમતનગરની 28 બેઠકો સામે 116 અને પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો સામે 58 દાવેદારોએ સેન્સ આપી હતી. વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 68 દાવેદારોની સેન્સ લેવાઈ હતી. આમ, પ્રથમ દિવસે કુલ 144 બેઠકો સામે અંદાજે 480 દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. બીજા દિવસે, શુક્રવારે સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા ફરી શરૂ થઈ હતી. જેમાં સૌપ્રથમ વડાલી તાલુકા પંચાયતની 16 બેઠકો સામે 72 દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. હાલમાં પ્રાંતિજ અને તલોદ તાલુકા પંચાયત તેમજ હિંમતનગર નગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. બપોર બાદ ઇડર તાલુકા પંચાયત, ઇડર નગરપાલિકા અને પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2 સહિતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવાશે. બે દિવસની આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સાંજે જિલ્લા સંકલન બેઠક યોજાશે. આ બેઠકમાં દાવેદારોની પેનલ તૈયાર કરીને આગળ મોકલવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવા માટે ભાજપ દ્વારા બે ટીમોની રચના કરવામાં આવી છે. ટીમ-1 માં ગાંધીનગર શહેર પ્રમુખ આશિષભાઈ દવે, પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્ય અને પૂર્વ પોરબંદર જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, તથા પૂર્વ શહેર પ્રમુખ અને મહિલા મોરચાના સ્મિતાબેન જોશીનો સમાવેશ થાય છે. ટીમ-2 માં પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જામનગરના પૂર્વ જિલ્લા પ્રભારી અને પૂર્વ જિલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, તેમજ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 1:56 pm

દિલ્લીના બે ગઠિયાએ રૂ. 4.62 કરોડ પડાવ્યા:અમદાવાદના વેપારીઓ પાસેથી મોટાપાયે કાપડ ખરીદી પૈસા ન ચૂકવ્યાં

અમદાવાદની અલગ-અલગ કાપડની કંપનીઓ પાસેથી નવી દિલ્હીના બે વેપારીએ મોટા પાયે કાપડ ખરીદીને કુલ રૂ. 4.62 કરોડની રકમ ન ચૂકવીને છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. ફરિયાદીની ઓફિસે આવીને સંપર્ક કર્યો હતોમળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં આવેલા એલ.પી. હાઉસ, શ્રેયસ કોલોની ખાતે કાર્યરત 'એલ બી ટેક્ષ પ્રા. લી.' નામની કંપનીમાં સિનીયર જનરલ મેનેજર તરીકે નોકરી કરતા અંકિતભાઈ જોગીનકુમાર શાહ (ઉં.વ. 37) દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, નવી દિલ્હીની ગીતા કોલોનીમાં આવેલી 'એ.એમ. એન્ટરપ્રાઇઝ' ના પ્રોપરાઇટર અનીલ રાજેન્દ્ર મદન અને 'નમહ ફેબ્રીક્સ' ના માલીક પીયુષ ગહલોટ એક જ ઓફિસ ધરાવે છે. 2025માં આ બંને દિલ્હીના વેપારીએ કાપડ લેવા માટે ફરિયાદીની ઓફિસે આવીને સંપર્ક કર્યો હતો. ઉઘરાણી બાદ પણ પૈસા ન આપતા ફરિયાદવેપારની શરૂઆતમાં આ બંને આરોપીઓએ કાપડનો માલ ખરીદીને 30 દિવસની ઉધારીના વાયદા મુજબ ટુકડે-ટુકડે નાણાં ચૂકવીને વેપારીઓનો પૂરેપૂરો ભરોસો જીતી લીધો હતો. પરંતુ ત્યારબાદ તેઓની દાનત બગડી હતી અને એપ્રિલ-2025થી માર્ચ-2026ના સમયગાળા દરમિયાન 'એલ બી ટેક્ષ પ્રા. લી.' સહિત શહેરની અન્ય ત્રણ પેઢીઓ પાસેથી લાખો રૂપિયાનો ડેનીમ અને અન્ય કાપડનો માલ ખરીદી લીધો હતો. ત્યારબાદ તેઓએ પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા કે માલ પરત આપ્યા ન હતા. છેવટે તેમણે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 1:54 pm

ટાટા હેરિયરમાંથી શેર બજારનો વ્યવસાય કરતા શખ્સની લાશ મળી:સાયન્સ સિટી રોડના હેતાર્થ પાર્ટી પ્લોટ પાસેથી મૃતદેહને પીએમમાં ખસેડાયો, અમદાવાદમાં 7 દિવસમાં બીજી લાશ મળી

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સાયન્સ સીટી રોડ ઉપરથી ગાડીમાંથી લાશ મળી આવવાની ઘટના બની હતી. પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મૃતક શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરનારા હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, હાલ સોલા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની શકયતા વર્તાઈ રહી છે. ઉલ્લખેનિય છે કે, 7 દિવસ પહેલાં અમદાવાદમાં GJ-5 મર્સિડીઝમાંથી કોહવાયેલી લાશ મળી મળી હતી. શરીર પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી-PIસોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એન. ભૂકણે જણાવ્યું હતું કે, સાયન્સ સિટી રોડ ઉપર હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે ગાડીમાંથી લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવેલી છે શરીર ઉપર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી. મૃતક ગાડીમાં કેવી રીતે આવ્યા ગાડી કોની છે તે વગેરે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. વિહત બંગલોઝની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ગાડીમાં લાશ પડી'તીમળતી માહિતી મુજબ, 2 એપ્રિલના રોજ સાંજના સમયે સોલા પોલીસને જાણ થઈ હતી કે સાયન્સ સીટી રોડ ઉપર હેતાર્થ પાર્ટી પ્લોટ નજીક વિહત બંગલોઝની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ગાડીમાં લાશ પડી છે. જેથી સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા ત્યાં જઈને તપાસ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયાં હતા. મૃતક શેરબજારનો વ્યવસાય કરતા હતાપોલીસ દ્વારા ગાડી ખોલીને તપાસ કરતા તેમાં આશરે 45 વર્ષીય વ્યક્તિની લાશ જોવા મળી હતી. પોલીસે મૃતકની ઓળખ કરતા શેલા ગામના રહેવાસી હર્ષદભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. હર્ષદભાઈ પોતે શેરબજારનો વ્યવસાય કરતા હતા. પોલીસે તાત્કાલિક લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસ તપાસ શરૂપોલીસને ગાડીમાંથી અથવા મૃતકના શરીર ઉપર કશું શંકાસ્પદ મળી આવ્યું નથી. સોલા પોલીસ દ્વારા હાલમાં મૃતક કેવી રીતે ગાડીમાં આવ્યા આ ગાડી કોની હતી અને કોઈને મળ્યા હતા કે કેમ તે વગેરે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો અમદાવાદમાં GJ-5 મર્સિડીઝમાંથી કોહવાયેલી લાશ મળી 7 દિવસ પહેલાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે પાર્ક થયેલી મર્સિડીઝ ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળાની હોવાનું સામે આવ્યું. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મર્સિડીઝ ગાડીમાંથી જે મૃતદેહ મળ્યો તેની તપાસ દરમિયાન મૃતક બોડકદેવ વિસ્તારનો પ્રતાપભાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક ગત 25મીએ ઘરેથી નીકળ્યો હતો. જે બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. મૃતકને બીમારી હતી અને દવા પણ ચાલતી હતી. જોકે, પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હત્યા કરી, ડેકીમાં લાશ મૂકી વિરાટનગર ઓવરબ્રિજ નીચે મર્સિડિઝ છોડી અમદાવાદમાં પૂર્વ ભાગીદારે પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી હતી. 13 સપ્ટેમ્બર, 2025ની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થતો હતો. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા હતા. આરોપીઓએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી હતી. આ હત્યા માટે પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 1:20 pm

એઈમ્સના છાત્રના ચકચારી આપઘાત કેસમાં પકડાયેલ તમામ આરોપીઓના જામીન મંજુર:મૃતક યુવતીના એક તરફી પ્રેમમાં હોવાથી આરોપીઓ શારીરિક માનસિક ત્રાસ આપી માર મારતા હોવાનો 13 પેજની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો'તો

રાજકોટના જામનગર રોડ પર આવેલ એઈમ્સમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થી રતન મેઘવાલે ગત તા.14.03.2026ના રોજ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેલ સ્યુસાઇડ નોટ આધારે આપઘાત કરવા મજબુર કરવા કલમ હેઠળ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી એઇમ્સના જ અન્ય 5 વિદ્યાર્થી સામે ગુનો નોંધી પોલીસ 5 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા જે બાદ આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા તમામ પાંચેય આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા છે. મૃતક વિદ્યાર્થી રતન મેઘવાલ તથા આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી રાજકોટ એઈમ્સ હોસ્પીટલમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા હતા જયાં મૃતક વિદ્યાર્થી રતનને એક યુવતી સાથે એક તરફી પ્રેમ સંબંધ બાબતે શંકા કરી પાંચેય આરોપીઓ મૃતક વિદ્યાર્થી રતનને છેલ્લા થણા સમયથી અવાર-નવાર શારીરીક માનસીક ટોર્ચર કરી માર મારતા હતા અને આ માર મારવા બાબતેના વીડીયો બનાવી રતનને બદનામ કરતા હતા જે બાબતે અસહય ત્રાસ આપી મરવા મજબુર કરતા મૃતક વિદ્યાર્થીએ તા.14.03.2026ના રોજ જામનગર રોડ, ઘંટેશ્વર, 25 વારીયા પાસે રેલવે પાટા પર પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થી રતન મેઘવાલના આપઘાત બાદ તેના પિતાએ પ્રણવ મોહન પાલીવાલ, અસ્મિત રાકેશ શર્મા, આયુશ સુરેશનંદન યાદવ, નિર્વિધ્નમ નુર વિનોદકુમાર યાદવ અને યુવરાજ રાજારામ ચૌધરી વિરુધ્ધ BNSની કલમ 108 તથા એટ્રોસીટી એકટની કલમ 3 મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેના આધારે પોલીસે પાંચેય આરોપીઓને પકડી જેલ હવાલે કરતા આરોપીઓએ એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તમામ પક્ષકારોની દલીલોના અંતે સેસન્સ કોર્ટ દ્વારા આરોપી તરફે થયેલ એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો ગ્રાહય રાખી આરોપીઓને તપાસમાં સહકાર આપવા અને ભારત દેશ બહાર ન જવાની શરતે જામીન પર મુકત કરવા આદેશ કર્યો છે. આ કામે તમામ આરોપીઓ વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નંદિમ ધંધુક્રિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી રોકાયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 1:16 pm

સોમનાથ-ભાવનગર NH પર જોખમી સ્ટંટ, વીડિયો વાઈરલ:વેરાવળના કાજલી યાર્ડ પાસે બાઈક પર ઊભા થઈ યુવકે ખતરનાક સ્ટંટબાજી કરી, કારચાલકે દૃશ્યો કેમેરામાં કેદ કર્યા

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક બાઈક સવાર યુવક દ્વારા કરવામાં આવેલો જીવલેણ સ્ટંટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર અન્ય વાહનોની અવરજવર વચ્ચે આ પ્રકારની જોખમી હરકત સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલતી બાઈક પર ઊભા રહી હાથ ફેલાવ્યાવાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પુરપાટ ઝડપે ચાલતી બાઈક પર સીટ પર ઊભો થઈ જાય છે અને બંને હાથ ફેલાવી સ્ટંટ કરે છે. આ દ્રશ્યો હાઈવે પર પાછળ આવી રહેલી એક કારમાં બેઠેલા વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા. સામાન્ય સંતુલન ગુમાવતા જ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવા છતાં યુવક બેફામ બનીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો જોવા મળ્યો હતો. અન્ય વાહનચાલકો માટે પણ જીવનું જોખમનિષ્ણાતોના મતે, આ પ્રકારના જોખમી કરતબ માત્ર સ્ટંટ કરનાર માટે જ નહીં, પરંતુ રસ્તા પર પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકો માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને 'લાઈક્સ' મેળવવાની લ્હાયમાં યુવાનો પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. પોલીસ તપાસનો ધમધમાટવીડિયો વાઈરલ થયા બાદ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો આવા તત્વો સામે કડક કાર્યવાહીની સાથે હાઈવે પર પેટ્રોલિંગ વધારવાની માગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે વાઈરલ વીડિયોને આધારે તપાસ શરૂ કરી દીધી છે. બાઈક નંબર અને અન્ય વિગતોના આધારે યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ કરાયા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ યુવક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 1:14 pm

અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો:બેંગકોકથી 2.25 કિલો ગાંજો વેક્યુમ પેક કરી છુપાવીને લાવતા MPના બે શખ્સોની ધરપકડ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન આજે સવારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફરો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. મુસાફરો પાસેથી બે કિલોથી વધુ વજનનો ગાંજો મળી આવ્યોDRI તરફથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, એઆઈયુ, અમદાવાદના અધિકારીઓએ વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. તેમની પાસેથી બે કિલોથી વધુ વજનનો ગાંજો મળી આવ્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડથી વધુ કિંમત થવા જાય છે. મુસાફરો ગાંજો કોના માટે અને કોની પાસેથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂમુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસમાં આઠ વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો પદાર્થ હતો. પરીક્ષણ કરાવતાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી અને કુલ 2.254 કિલો પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી હતી. બંને મુસાફરોની NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના જબલપુરના છે. તેઓ કોના માટે અને કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 1:11 pm

ગઢડાના માંડવધારમાં પિતા-પુત્ર પર હુમલાનો મામલો:9 દિવસ બાદ પણ ધરપકડ ન થતા બાબર સમાજમાં રોષ, SPને આવેદન

બોટાદ અને ભાવનગર જિલ્લાના બાબર સમાજ દ્વારા ગઢડાના માંડવધાર ગામે પિતા-પુત્ર પર થયેલા હુમલાના આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે એસપી કચેરીએ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ઘટનાના નવ દિવસ વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના ગત ૨૪ માર્ચની રાત્રિના સમયે માંડવધાર ગામે બની હતી. જેમાં હિમત ગઢાદરા અને તેમના પુત્ર પ્રકાશ ગઢાદરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગઢડા પોલીસે આ મામલે ૨૫ માર્ચે આઠ શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જોકે, ફરિયાદ દાખલ થયાના નવ દિવસ બાદ પણ હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે. બાબર સમાજે માંગ કરી છે કે આ હુમલાના તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ અંગેની માહિતી બાબર સમાજના આગેવાન તુષાર ચૌહાણ અને ઈજાગ્રસ્તની પુત્રી અસ્મિતા ગઢાદરા દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 1:03 pm

જૂનાગઢ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ.:જૂનાગઢના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પોલીસ મેદાને: એ ડિવિઝન પીઆઈ પોલીસ કાફલા સાથે પગપાળા પેટ્રોલિંગ કરી આડેધડ પાર્કિંગ કરનારાઓને ખખડાવ્યા.

​જૂનાગઢ શહેરના હાર્દ સમાન વ્યાપારી વિસ્તારોમાં લાંબા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. આ પરિસ્થિતિને થાળે પાડવા અને રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે આજે શહેર પોલીસ 'એક્શન મોડ'માં જોવા મળી હતી. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય દેસાઈ અને તેમની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આકસ્મિક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા નિયમભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ​પોલીસના કાફલાએ આઝાદ ચોકથી શરૂ કરીને પોસ્ટ ઓફિસ રોડ, દાણાપીઠ સર્કલ અને ચોક માલીવાડા જેવા વ્યસ્ત વિસ્તારોમાં પગપાળા પરિભ્રમણ કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે રસ્તાની વચ્ચે કે નો-પાર્કિંગ ઝોનમાં અડચણરૂપ રીતે ઊભેલા વાહનોના માલિકો સામે લાલ આંખ કરી હતી. અનેક વાહનચાલકોને સ્થળ પર જ કડક સૂચના આપી ચેતવણી આપવામાં આવી હતી કે, જો ફરીથી આ પ્રકારે આડેધડ પાર્કિંગ કરવામાં આવશે તો વાહન ડિટેઈન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ​પીઆઈ સંજય દેસાઈએ આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓને ટ્રાફિકને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવી એ અમારી પ્રાથમિકતા છે. માત્ર દંડ વસૂલવાને બદલે લોકોમાં જાગૃતિ આવે અને તેઓ શિસ્તબદ્ધ રીતે વાહન પાર્ક કરે તે હેતુથી આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે અને ટ્રાફિકના નિયમોનું સતત ઉલ્લંઘન કરનારા તેમજ રસ્તા પર દબાણ કરનારાઓ સામે કાયદાનો સકંજો વધુ કડક કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે. પોલીસની આ સક્રિયતાને પગલે આજે બપોર બાદ મુખ્ય બજારોના રસ્તાઓ પ્રમાણમાં મોકળા જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:56 pm

પંચમહાલમાં ભેંસ તોફાની બનતા પશુપાલક ગંભીર રીતે ઘાયલ:શહેરાના વાધજીપુરમાં ઘટના, યુવકને ગોધરા સિવિલમાં ખસેડાયો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાધજીપુર ગામે એક પશુપાલકને તેની જ ભેંસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. પશુ ચરાવવા નીકળેલા યુવકને તોફાની બનેલી ભેંસે પથ્થરના ઢગલા પર પછાડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, વાધજીપુર ગામના રહેવાસી વિક્રમભાઈ બારિયા પોતાની ભેંસને ચરાવવા લઈ ગયા હતા. ભેંસનું દોરડું તેમના હાથમાં હતું ત્યારે ભેંસ અચાનક તોફાની બનીને દોડવા લાગી. દોરડું હાથમાં વીંટળાયેલું હોવાથી વિક્રમભાઈ પણ તેની સાથે ઢસડાયા હતા. તોફાની ભેંસે વિક્રમભાઈને પથ્થરોના ઢગલા પર પછાડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિક્રમભાઈને તાત્કાલિક શહેરા રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરાયા છે. હાલ પશુપાલક યુવકની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:55 pm

સોસાયટીમાં મેન્ટેનન્સ અને બાંધકામનો વિવાદ વકર્યો:ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પર પાઈપ-લાકડીથી જીવલેણ હુમલો; છેડતીના આક્ષેપ સાથે અડાલજમાં ફરિયાદ

અમદાવાદ શહેરના લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીમાં રહેતા નડિયાદ ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતના પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરવાના મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેન્ટેનન્સ અને ડિપોઝિટની રકમ ન ભરતા ગજગ્રાહ ચાલતો હતોપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં રહેતા ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હીરેનકુમારના પત્ની સોસાયટીમાં ચેરમેન તરીકે સેવા આપે છે. સોસાયટીમાં બંગલા નંબર 3માં રહેતા વસંતીબેન અને તેમનો પરિવાર સોસાયટીના મંજૂર પ્લાન મુજબ પેરાફેટ ન બનાવવા દેતા હોવાથી તેમજ મેન્ટેનન્સ અને ડિપોઝિટની રકમ ન ભરતા હોવાથી લાંબા સમયથી ગજગ્રાહ ચાલતો હતો. યુવતીએ લોખંડની પાઈપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધોઆ બાબતે ચેરમેન તરીકે હીરેનકુમારના પત્નીએ વારંવાર ટકોર કરતા પાડોશી પરિવાર તેમની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. ગઈકાલે રાત્રે આ વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વસંતીબેનની દીકરીએ હીરેનકુમારના ઘર સામે આવીને અગાઉના ઝઘડાની અદાવત રાખી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે હીરેનકુમારે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલી યુવતીએ લોખંડની પાઈપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન વસંતીબેન અને તેમનો દીકરો ધ્રુવ પણ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને હીરેનકુમારને માર માર્યો હતો. યુવકે શોભનાબેન પર હુમલો કરી છેડતી કર્યાનો પણ આક્ષેપઆ ઝઘડો વધતા હીરેનકુમારના ભત્રીજા જ્યોતિરાદિત્ય અને પાડોશમાં રહેતા શોભનાબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા, પરંતુ હુમલાખોરોએ તેમને પણ નિશાન બનાવ્યા હતા. ધ્રુવ નામના યુવકે શોભનાબેન પર હુમલો કરી તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ છે. હુમલાખોરોએ દવા પી ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારીઆટલેથી ન અટકતા હુમલાખોર પરિવારે જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વસંતીબેને પોતે દવા પી લઈને સામા પક્ષને ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને પાડોશીઓ દ્વારા તાત્કાલિક અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:54 pm

વાલ્કેટગેટ વિસ્તારમાં ત્રણ શખ્સોનો યુવાન પર છરી-ધોકા વડે હુમલો:ફૂઈના દીકરાને ઘરપાસે ગાળો બોલવાની ના પાડતા બાખડી પડ્યા, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો

ભાવનગર શહેરના વાલ્કેટ ગેટ વિસ્તારમાં ફૂઈના દીકરાને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ફઈનો દીકરો તેમજ તેના પુત્ર મળી તેના મામાના દીકરા પર છરી અને ધોકા વડે હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગંગાજળિયા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાળો બોલવાની ના પાડતા છરી અને ધોકા વડે હુમલો કર્યોમળતી માહિત અનુસાર, ભાવનગર શહેરના વાલ્કેટગેટ વિસ્તારમાં આવેલ બહારફળીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ ઉર્ફે બોમ્બ જયંતિ મકવાણા ઉં.વ. 28એ ગંગાજળિયા પોલીસ મથકમાં તેની ફુઈના પુત્ર કાળુ ચૌહાણ અને કાળુના પુત્ર ચિરાગ કાળુ ચૌહાણ, ધમુ કાળું ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાજ મુજબ, ગઈકાલે(2 એપ્રિલે) તેના ઘર પાસે આવેલ શેરીમાં ઠાકર દ્વારા પાસે બેઠો હોય એ દરમિયાન તેના ફઈના પુત્રો જાહેરમાં બિભત્સ અપશબ્દો બોલતા હોય હાથી તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ ત્રણેય શખ્સોએ ફરિયાદી રાહુલ પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. યુવાનને લોહીયાળ ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 3 સામે ગુનો નોંધાયોજે યુવાનની ફરિયાદના અનુસંધાને ગંગાજળીયા પોલીસે કાળુ ચૌહાણ, ચિરાગ કાળુભાઇ ચૌહાણ, ધમુ કાળુભાઇ ચૌહાણ રહે તમામ વાલકેટ ગેઇટ, ભાવનગરનાઓ વિરુદ્ધ BNS એક્ટ 118(1), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:53 pm

બોડેલીનું ઊંચકલમ કુંડી ગામ વિકાસથી વંચિત:ગ્રામપંચાયત વિના પ્રાથમિક સુવિધાઓનો અભાવ, લોકો સ્થળાંતર કરવા મજબૂર

બોડેલી તાલુકાના ઊંચકલમ કુંડી ગામમાં આજે વિકાસનો સૂર્યોદય હજુ બાકી હોય તેવું પ્રતીત થાય છે. આ ગામ પાયાની પ્રાથમિક સુવિધાઓથી એટલી હદે વંચિત છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનેક પરિવારોએ વતનનું આંગણું છોડી સ્થળાંતર કરવાની નોબત આવી છે. વિકાસ, સુવિધા અને છેવાડાના માનવીની સુખાકારીના પોકળ દાવાઓ વચ્ચે આ અવિકસિત ગામના દ્રશ્યો હૃદયને હચમચાવી મૂકે તેવા છે. બોડેલી તાલુકાના ઊંચકલમ ગામનું કુંડી ફળિયું આજે પણ ઉપેક્ષાનો શિકાર છે. જે ગામ એક સમયે માનવીઓના કલશોરથી ગુંજતું હતું, તે આજે વીરાણ ભાસી રહ્યું છે. વતનની માયા છોડી અનેક લોકો હવે આ ગામનો ત્યાગ કરી ચૂક્યા છે. કુંડી ગામમાં જ્યાં ક્યારેક સમૂહજીવનની સુવાસ હતી, ત્યાં આજે માત્ર ભયાનક સન્નાટો પ્રસરેલો છે. એવું લાગે છે કે વિકાસનો માર્ગ આ ફળિયા સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી ગયો છે. અહીં નથી વીજળીના દર્શન થયા કે નથી પાકા રસ્તાની સુવિધા મળી. તરસ છિપાવવા માટે નળ કે હેન્ડપંપ તો સ્વપ્ન સમાન છે; ગામલોકોએ પીવાનું પાણી મેળવવા આજે પણ કોતરોમાં ભટકવું પડે છે. આ જ દુર્દશાને કારણે સક્ષમ લોકો ગામ છોડી ગયા છે, તો કેટલાક રોજીરોટીની શોધમાં સતત માઈગ્રેશન કરી રહ્યા છે. જે રહી ગયા છે, તે એકલવાયા વૃદ્ધો છે જેમનું જીવન હવે માત્ર સંઘર્ષની પરાકાષ્ઠા બનીને રહી ગયું છે. અહીં વસતા લોકો માટે જાયે તો કહા જાયે જેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. અશક્ત કાયા હોવા છતાં પેટનો ખાડો પૂરવા વૃદ્ધોએ મજૂરીના શરણે જવું પડે છે. એક એવા વૃદ્ધ દંપતીની વ્યથા આંખમાં ઝળઝળિયાં લાવી દે તેવી છે, જેમણે પોતાની બે દીકરીઓ ગુમાવી દીધી છે અને કોઈ પુત્ર નથી. 75 વર્ષના અશક્ત પતિની આંખોની જ્યોતિ હવે મંદ પડી છે, જ્યારે તેમની 70 વર્ષની પત્ની જર્જરિત શરીરે મજૂરી કરી ઘરનો ચૂલો સળગતો રાખે છે. જો મજૂરી મળે તો રોટલો નસીબ થાય, નહીંતર ભૂખ્યા પેટે પાણી પીને રાત કાપવી પડે છે. પાણી માટે પણ તેમને કોતર સુધી લાંબા થવું પડે છે અને ચોમાસામાં ઝૂંપડાના નેવાંનું પાણી એકત્ર કરી તરસ છિપાવવી પડે છે. સરકારી ચોપડે કદાચ આ પરિવારનું અસ્તિત્વ જ નથી, કારણ કે તેમની પાસે નથી આધાર કાર્ડ, નથી રેશન કાર્ડ કે નથી ચૂંટણી કાર્ડ. જંગલ વિસ્તારની આ વસાહતમાં રાત્રિનો અંધકાર દીપડાના ભય સાથે વધુ બિહામણો બને છે. ઘરમાં વીજળી નથી અને ઘરને દરવાજો પણ નથી. ગત વર્ષના વાવાઝોડાએ તેમનું મકાન જમીનદોસ્ત કરી નાખ્યું હતું, જેના કારણે તેઓ હવે ગામ છોડી ગયેલા અન્ય એક પરિવારના મકાનમાં આશરો લઈ રહ્યા છે. આજે તો એકબીજાના સહારે આ જોડી જીવી રહી છે, પણ ક્યારેક એક સાથ છૂટશે ત્યારે બીજાનું શું થશે? તે વિચાર માત્ર કમકમાટી પેદા કરે છે. ગુજરાતના પ્રત્યેક નાગરિકને પાયાની સુવિધાઓ મેળવવાનો બંધારણીય હક્ક છે, તો પછી કુંડી ગામના આ રહીશોની અવગણના કેમ? ક્યાં સુધી આ લાચાર વૃદ્ધો અને મહિલાઓ ન્યાયની પ્રતીક્ષા કરશે? શું આ દયનીય હાલતના અહેવાલ બાદ વહીવટી તંત્રની નિદ્રા ઉડશે કે પછી આ પરિવારો નસીબના સહારે જ પોતાનું જીવન વ્યતીત કરશે? તે એક મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:44 pm

'ગોરાટ મંદિર બચાવે તેવા નેતાઓએ જ વોટ માંગવા':'અશાંતધારો' છતાં અન્ય ધર્મના લોકોને ફ્લેટ અપાતા રોષ, મહારાજે કહ્યું-'ભાજપ જ મંદિર વિરુદ્ધ કામ કરે છે'

મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ શહેરના અડાજણ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. તાડવાડી સ્થિત ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંતધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે, 'જો ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું.' સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંતધારો અમલી હોવા છતાં નિયમોને નેવે મૂકીને અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અંશાતધારો લાગુ હોવા છતાં તે વિસ્તારમાં બિલ્ડર દ્વારા અન્ય ધર્મના લોકોને ફ્લેટ આપવામાં આવતા હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. 'ગોરાટ મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું' સ્થાનિક રહીશો દ્વારા લગાડવામાં આવેલા પોસ્ટરોમાં ખૂબ જ આક્રમક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મંદિરની બિલકુલ પાછળ જે મોટી બિલ્ડિંગનો પ્રોજેક્ટ બની રહ્યો છે, તે મંદિરના અસ્તિત્વ અને સુરક્ષા માટે જોખમરૂપ છે. હનુમાન જયંતિના પવિત્ર અવસરે જ આ પ્રકારના પોસ્ટરો સામે આવતા સુરતનું રાજકારણ ગરમાયું હતું અને શાસક પક્ષ માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી થાય તેવા સંકેતો મળી રહ્યા છે. 'અમે જ ભાજપને લાવ્યા હતા, હવે એ જ મંદિર વિરુદ્ધ કામ કરે છે'ગોરાટ હનુમાન મંદિરના પૂજારી શિવલહરી ગોસ્વામીએ આ મામલે સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'હું છેલ્લા 23-24 વર્ષથી અહીં પૂજા કરું છું. આ વિસ્તાર સંપૂર્ણપણે હિન્દુ બહુમતી ધરાવે છે. જો અહીં અન્ય ધર્મના લોકો રહેવા આવશે તો તે મંદિર અને અહીંની જનતા બંને માટે હાનિકારક સાબિત થશે. ભાજપ સરકાર ભગવા ઝંડા અને સાધુ-સંતોના ટેકાથી સત્તા પર આવી છે, પરંતુ અત્યારે તે ભગવાની વિરુદ્ધ અને સંતોની વિરુદ્ધ કામ કરી રહી હોય તેવું લાગે છે. જ્યારે ભાજપનું કોઈ નામ નહોતું જાણતું ત્યારે અમે ગામડાઓમાં મિટિંગો કરીને તેમને સમર્થન અપાવ્યું હતું, પણ હવે અમારે આવી સરકાર જોઈતી જ નથી.' 'અમે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છીએ' સ્થાનિક રહીશ કુશમનભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, આ પ્રોજેક્ટ માટે અશાંતધારાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છીએ અને 4થી 5 વાર આવેદન પત્ર આપી ચૂક્યા છીએ. અશાંતધારો અમલમાં હોવા છતાં અન્ય ધર્મના લોકોને અહીં રહેવા માટે પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. અમે હાઈકોર્ટ સુધી લડત આપી છે, પરંતુ કોઈ રાજકીય પક્ષ કે નેતાએ અમને સાથ આપ્યો નથી. 18 મીટરના રોડ પર 21 માળની બિલ્ડીંગને કઈ રીતે મંજૂરી મળી ગઈ? આ તમામ પરમિશન ગેરકાયદેસર છે.' 'મને ક્ષત્રિય જાણી ફ્લેટ ન આપ્યો, પણ અહીં અન્ય ધર્મના લોકો માટે લાલ જાજમ'વિજયભાઈ જરીવાલા નામના રહીશે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, 'જ્યારે હું આ બિલ્ડરના અન્ય પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવવા ગયો ત્યારે હું ક્ષત્રિય જ્ઞાતિનો હોવાથી મને ફ્લેટ આપવામાં આવ્યો નહોતો. તો પછી અહીં હિન્દુ વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને કેમ વસાવવામાં આવી રહ્યા છે? નિયમ મુજબ અહીં માત્ર 14 માળની મંજૂરી મળી શકે તેમ છે, તેની જગ્યાએ 21 માળનું બાંધકામ થઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે ત્રણ માળનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી SMCની મંજૂરી નહોતી, અને પછી અચાનક મંજૂરી મળી ગઈ. જો કોઈ સામાન્ય માણસ નાનું બાંધકામ કરે તો તંત્ર તોડી પાડે છે, તો અહીં કેમ મૌન છે?' મંદિરની ગરિમા જાળવવામાં મદદ કરશે તેને જ 5000 પરિવાર વોટ આપશેઆ વિવાદ હવે માત્ર બાંધકામ પૂરતો મર્યાદિત નથી રહ્યો પણ ચૂંટણીના મુદ્દામાં પરિવર્તિત થયો છે. તાડવાડી અને હનુમાન ચોક વિસ્તારના અંદાજે 5000 પરિવારોએ એકસૂરે નક્કી કર્યું છે કે જે નેતા કે પક્ષ આ ગેરકાયદેસર વસાહત રોકવામાં અને મંદિરની ગરિમા જાળવવામાં મદદ કરશે, તેને જ વોટ આપવામાં આવશે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે કોઈ પણ પક્ષની વિચારધારા કરતા પોતાના વિસ્તારની સુરક્ષા અને અશાંતધારાના કડક અમલીકરણને પ્રાધાન્ય આપશે. જો સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ચૂંટણી પહેલા અશાંતધારાનો મુદ્દો નિર્ણાયક બનશેસુરતના પશ્ચિમ વિસ્તારમાં અશાંતધારો હંમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. ગોરાટ હનુમાન મંદિર પાસેની આ ઘટનાએ સાબિત કર્યું છે કે લોકો હવે જાગૃત થયા છે. અન્ય ધર્મના લોકોના પ્રવેશ સામેનો આ વિરોધ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. એક તરફ શ્રદ્ધાનો વિષય છે અને બીજી તરફ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન, આ બંને વચ્ચે ઘેરાયેલા રાજકીય પક્ષો માટે હવે 'વોટ બેંક' બચાવવી મુશ્કેલ બની રહી છે. જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર આ ગંભીર મુદ્દે શું પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:40 pm

લાખવડ ગામે ખેતરના પાઈપમાં અજગર ફસાયો:ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ, તારંગાના જંગલોમાં મુક્ત કરાયો

મહેસાણા નજીક આવેલા લાખવડ ગામે વન્યજીવ પ્રેમીઓની સતર્કતાને કારણે એક વિશાળ અજગરનો જીવ બચાવી તેને કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો છે. લાખવડ ગામના ખેડૂત દિનેશજી ઠાકોરના ખેતરમાં પાણીની પાઈપમાં એક અજગર ફસાઈ ગયો હોવાની જાણ થતા જ સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી હતી. ભારે જહેમત બાદ પાઈપમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુઆ ઘટનાની વિગત મુજબ ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને પાઈપ લાઈનમાં અજગર હોવાનું જણાતા તાત્કાલિક ધોરણે મહેસાણાના 'સદભાવના ફાઉન્ડેશન' અને 'નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર'નો સંપર્ક કરવામાં આવ્યો હતો. વન્યજીવોના સંરક્ષણ માટે જાણીતી આ બંને સંસ્થાઓના સભ્યો તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ પાઈપમાં ફસાયેલા અજગરનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. અજગરને તારંગાના ગાઢ જંગલોમાં મુક્ત કરાયોરેસ્ક્યુ કરાયેલા આ અજગરને બાદમાં તેની સુરક્ષા અને ખોરાકની અનુકૂળતાને ધ્યાને રાખી તારંગાના ગાઢ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદભાવના ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ વર્ષોથી મહેસાણા જિલ્લામાં નિઃસ્વાર્થ ભાવે કાર્યરત છે. સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી'તીરહેણાંક કે ખેતીવાડી વિસ્તારમાં ચડી આવતા સરીસૃપ જીવોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર પકડીને તેમને તેમના મુક્ત અને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત પહોંચાડવાની ઉમદા કામગીરી આ સંસ્થાઓ દ્વારા સતત કરવામાં આવી રહી છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓએ બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:39 pm

વિકાસ થી વંચિત રહેવાસીઓનો તંત્ર સામે ઉગ્ર રોષ:જૂનાગઢ વોર્ડ 10ના શીતલાકુંડના વિકાસ કામ અટવાતા રહેવાસીઓમાં રોષ, 50 લાખની ગ્રાન્ટ છતાં કામગીરી શૂન્ય; 7 દિવસમાં કામ નહીં શરૂ થાય તો ઉપવાસની ચીમકી...

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલ નવાનગરવાડા વિસ્તારનું ઐતિહાસિક અને પૌરાણીક શીતલાકુંડ મંદિર છેલ્લા ઘણા સમયથી વિકાસના અભાવે અવ્યવસ્થિત સ્થિતિમાં છે. ધાર્મિક અને સામાજિક રીતે અત્યંત મહત્વ ધરાવતા આ સ્થળે વર્ષ દરમિયાન અનેક તહેવારો અને પ્રસંગોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે, છતાં અહીં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે શીતળા સાતમ, મોટી સાતમ જેવા તહેવારો ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે દીપમાળાના પ્રસંગે અહીં હજારો ભાવિકો ભેગા થાય છે. છતાં, તંત્ર દ્વારા સ્થળના વિકાસ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ભાવિકોને તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ શીતલાકુંડના વિકાસ માટે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વિકાસ કામ ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ હાથ ધરવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને તેની માહિતી ધારાસભ્યની ત્રિવેણી સંગમ પત્રિકામાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાહેરાતથી સ્થાનિકોમાં આશા જાગી હતી કે હવે શીતલાકુંડનો વિકાસ થશે અને અહીં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે.પરંતુ, વાસ્તવિક પરિસ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. આજદિન સુધી સ્થળ પર કોઈ પણ પ્રકારનું વિકાસ કામ શરૂ થયું નથી. માત્ર પ્લાન અને નકશા તૈયાર થઈ રહ્યા હોવાના આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન પર કોઈ કામગીરીનો અણસાર પણ દેખાતો નથી. આથી સ્થાનિકોમાં નિરાશા અને રોષ બંને વધી રહ્યા છે. આ મુદ્દે શીતલાકુંડ વિસ્તારના રહેવાસી મિહિર મહેતાએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ 9 માર્ચ 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો આગામી સાત દિવસમાં શીતલાકુંડના રિનોવેશનનું કામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનશે. બીજી તરફ, સ્થાનિક રહેવાસી નારાયણ મેઘજી ઝાલાએ પણ તંત્ર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. તેમણે ઉમેર્યું કે શિવરાત્રી અને હનુમાન જયંતી જેવા મોટા તહેવારો પસાર થઈ ગયા હોવા છતાં, કોઈ પણ અધિકારી કે સત્તાધીશે આ સ્થળની મુલાકાત લીધી નથી કે વિકાસ કામ ક્યારે શરૂ થશે તેની સ્પષ્ટતા કરી નથી.તંત્રની આ ઢીલી નીતિ સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોનું કહેવું છે કે આ સ્થળ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે, છતાં તેને અવગણવામાં આવી રહ્યું છે. સ્થળ પર સાફસફાઈ, બેસવાની વ્યવસ્થા, પાણી અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. આ પરિસ્થિતિથી કંટાળી શીતલાકુંડ વિસ્તારના રહીશોએ 2 એપ્રિલ 2026ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સાત દિવસની અંદર વિકાસ કામ શરૂ નહીં થાય, તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસશે. સાથે જ તેમણે આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે.આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે શીતલાકુંડનું ઐતિહાસિક અને પૌરાણીક મહત્વ જાળવવા માટે તાત્કાલિક ધોરણે વિકાસ કામ શરૂ કરવું જરૂરી છે. તેઓએ કમિશનરને આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તેઓ લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ હવે તેમની સહનશક્તિનો અંત આવી રહ્યો છે. જો તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ કરવા મજબૂર બનશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલમાં સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના આ આંદોલનની ચેતવણી પછી તંત્ર કોઈ તાત્કાલિક પગલાં લે છે કે નહીં.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:37 pm

ભરૂચમાં ગુડ ફ્રાયડે નિમિત્તે ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ:ખ્રિસ્તી અનુયાયીઓએ ઉપવાસ સાથે ઈસુના બલિદાનને યાદ કર્યા

ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારે ગુડ ફ્રાયડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેર અને જિલ્લાના વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા હતા. ગુડ ફ્રાયડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રુસ પર ચઢાવી યાતનાઓ આપવામાં આવી હતી, જેની સ્મૃતિમાં ખ્રિસ્તી વિશ્વાસીઓ ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહે છે. ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથલિક ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં ભક્તિગીતો, બાઈબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુના બલિદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ. જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધ્યા હતા. તેમણે ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ આપ્યો અને માનવતા, પ્રેમ તથા ક્ષમાના મૂલ્યો પર ભાર મૂક્યો. તેમણે દેશ, દુનિયા અને ભરૂચ શહેરની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આમ, ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાયડેનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:31 pm

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ:કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરાઈ હતી. કલેક્ટર મિહિર પટેલે આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓનું અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવા-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ અપાઈ હતી. મતદારયાદીની ચકાસણી, માર્ક કોપી તૈયાર કરવી, ઈવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા અને ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઈ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા અંગે પણ સમીક્ષા કરાઈ હતી. ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી સુનિશ્ચિત કરવા પણ જણાવાયું હતું. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી અને મીડિયા મેનેજમેન્ટ અંગે પણ સૂચનાઓ અપાઈ હતી. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ ભાર મુકાયો હતો. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અને તેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી કરી તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:21 pm

ભરૂચમાં બે ટ્રક અથડાતાં એકનું મોત:નબીપુર પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો;કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા ભારે જહેમત

ભરૂચ જિલ્લામાં વડોદરા-સુરત નેશનલ હાઈવે પર નબીપુર નજીક માંચ પાટિયા પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણ એટલી જોરદાર હતી કે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:13 pm

પાટણમાં ભાજપ દ્વારા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા તેજ:રીવાબા જાડેજા સહિત નિરીક્ષકોએ દાવેદારોની રજૂઆતો સાંભળી

પાટણ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયાના બીજા દિવસે ત્રણ સભ્યોની નિરીક્ષક સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાના ભાગરૂપે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયા માટે પક્ષ દ્વારા ત્રણ સભ્યોની વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો બે અલગ-અલગ સ્થળોએ દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે અને પાયાના કાર્યકરો પાસેથી ઉમેદવારો અંગેના અભિપ્રાયો મેળવી રહ્યા છે. બીજા દિવસે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ તબક્કે પાટણ નગરપાલિકા માટે ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સિદ્ધપુર નગરપાલિકાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ, હારીજ ખાતે આવેલી રોહિત કોટન ઇન્ડસ્ટ્રીમાં હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઉમેદવારોના સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા અને ટેકો જાહેર કરવા ઉમટી પડ્યા હતા. પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો અને સિદ્ધપુર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો સહિત કુલ 80 બેઠકો માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. સેન્સ પ્રક્રિયા પહેલા રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ જેબલીયાએ જણાવ્યું હતું કે, ટિકિટ મળે કે ન મળે, પાર્ટી માટે કામ કરવું જોઈએ.નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા આ અભિપ્રાયો અને મળેલી રજૂઆતોના આધારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ આગામી સમયમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. નિરીક્ષકોના અહેવાલ અને પક્ષના આંતરિક સર્વેના આધારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. ચૂંટણીની તારીખ નજીક હોવાથી ભાજપ દ્વારા વહેલી તકે સક્ષમ ઉમેદવારોના નામ જાહેર કરવાની દિશામાં કવાયત તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:10 pm

બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો:ભિક્ખુણી ઉત્પલવર્ણાની ઉપસ્થિતિમાં ધમ્મ દેશના અને પ્રવચનો યોજાયા

બોટાદના સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે 02-04-26 ના રોજ સાંજે 7 કલાકે ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય ઉત્પલવર્ણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન બુદ્ધને પુષ્પ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો. ત્યારબાદ બૌદ્ધ સાધુ દ્વારા ત્રિશરણ, પંચશીલ અને બુદ્ધ વંદના કરવામાં આવી. રાહુલભાઈ વાજાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. 'ધર્મ અને તેનું તત્વજ્ઞાન' વિષય પર જયંતિભાઈ ચાવડા, અમૃતભાઈ કલીવડા, મયુરભાઈ જમોડ, મોન્ટુભાઈ માળી, બિજલભાઈ પરમાર અને હિંમતભાઈ ગોહિલ સહિતના વક્તાઓએ પ્રવચનો આપ્યા. ભિક્ખુણી ઉત્પલવર્ણાજીએ 'સમ્યક જીવનની આધારશિલા' પર ધમ્મ દેશના આપી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓને બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગીરીશભાઈ પરમારે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું, જ્યારે દીપકભાઈ સોલંકીએ આભારવિધિ કરી. બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ ઉત્સવમાં વિનોદભાઈ ભાદરકા, હરેશભાઈ પરમાર, બોધિરાજ બૌદ્ધ, મૌલેશભાઈ સોલંકી, ડાયાભાઈ ચાવડા, પ્રિતેશભાઈ ચાવડા, અલ્પેશ ખુમાણ, રાજેશભાઈ જાદવ, મનિષભાઈ પરમાર, મુકેશભાઈ ચૌહાણ, અમરાભાઈ બથવાર, કાળુભાઈ વાજા, કિરણભાઈ બથવાર, દિનેશભાઈ કાનપરીયા, ભાવેશભાઈ પરમાર, પ્રકાશભાઈ મકવાણા, જગદીશભાઈ ગોહિલ, ભુપતભાઈ ચૌહાણ, સાહિલ વાજા, પ્રતિભા બૌદ્ધ, નિરમાબેન પરમાર, આરતિબેન ભાદરકા, લક્ષ્મીબેન બથવાર, દીપ્તિબેન પરમાર સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ અને સમાનતાવાદીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે હરેશભાઈ પરમાર, વિનોદભાઈ ભાદરકા અને ડાયાભાઈ ચાવડા તરફથી સુજાતા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌ ઉપસ્થિતોએ લાભ લીધો. આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ શહેરમાં વૈશાખી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:09 pm

સુરતમાં થશે બુલેટ ટ્રેનોનું રિપેરિંગ:સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર 27 હેક્ટરમાં બની રહ્યો છે ‘રોલિંગ સ્ટોક ડેપો’; અત્યાધુનિક સાધનોથી હશે સજ્જ

અતિમહત્ત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં સાબરમતી અને સુરત તથા મહારાષ્ટ્રમાં થાણે એમ ત્રણ ઠેકાણે ત્રણ રોલિંગ સ્ટોક ડેપો બનાવવાનું આયોજન છે. તે પૈકી સુરતમાં 27 હેક્ટર વિસ્તારમાં રોલિંગ સ્ટોક ડેપો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત રોલિંગ સ્ટોક ડેપો ટ્રેનોના કમિશનિંગ અને જાળવણી માટે જરૂરી સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ટ્રેનસેટના હળવા જાળવણી માટે અત્યાધુનિક સાધનો, તેમજ નિરીક્ષણ ખાડીઓ, વોશિંગ પ્લાન્ટ, સ્ટેબલિંગ લાઇન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ડેપો પરિસરમાં રોલિંગ સ્ટોકનું દરરોજ અને નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે. હાલમાં, બે નિરીક્ષણ-ક્રમ-સ્ટેબલિંગ લાઇન પૂરી પાડવામાં આવી રહી છે અને ભવિષ્યમાં ચાર સ્ટેબલિંગ લાઇનનું આયોજન છે. નિરીક્ષણ ઉપરાંત, ડેપોમાં અનશેડ્યુલ રિપેર અને વ્હીલ રિ-પ્રોફાઇલિંગ માટેની સુવિધાઓ પણ હશે. રોલિંગ સ્ટોક ડેપો એ ટ્રેનોનું ‘ઘર’ અને ‘હોસ્પિટલ’ જેવુંરોલિંગ સ્ટોક ડેપો રેલવે વ્યવસ્થામાં ટ્રેનોના વાહનો (જેને રોલિંગ સ્ટોક કહેવાય છે)ના સ્ટોરેજ, જાળવણી અને મરામત માટેનું એક વિશેષ કેન્દ્ર છે. રોલિંગ સ્ટોકમાં ટ્રેનના તમામ વાહનોનો સમાવેશ થાય છે, જેમ કે લોકોમોટિવ, પેસેન્જર કોય, ટ્રેનસેટ વગેરે. ડિપો એ ટ્રેનોનું “ઘર” અને હોસ્પિટલ” જેવું છે, જ્યાં ટ્રેનોને પાર્ક કરવામાં આવે છે, દરરોજનું નિરીક્ષણ કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે અને જરૂરી રિપેરિંગ કરવામાં આવે છે. નિયમિત અને વિગતવાર નિરીક્ષણથી ટ્રેનમાં કોઈ ખામી વહેલી શોધી શકાય છે, જેથી અકસ્માતનું જોખમ ઘટે છે. ખાસ કરીને 320 કિમી/કલાકની સ્પીડવાળી બુલેટ ટ્રેનમાં આ અત્યંત જરૂરી છે. ડેપોનું આઈઆરકોન ઈન્ટરનેશનલ કંપની દ્વારા નિર્માણ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત રોલિંગ સ્ટોક ડેપો સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની નજીક જ બનાવવામાં આવી રહ્યો છે. આ ડેપો નિયોલ રેલવે સ્ટેશનની ઉત્તર બાજુએ આવેલો છે. તે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 2 કિલોમીટર દક્ષિણ તરફ આવેલો છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન અંત્રોલી ગામમાં સુરત-બારડોલી રોડ (NH-53) પાસે આવેલું છે. આ સ્થળ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે, તે બુલેટ ટ્રેનના મુખ્ય રૂટ પર છે અને સુરત-બિલીમોરા (પ્રથમ તબક્કો) માટે પણ અનુકૂળ છે. ડેપોનું નિર્માણ આઈઆરકોન ઈન્ટરનેશનલ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:54 am

કચ્છમાં બીજા દિવસે કમોસમી વરસાદ:પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે શુક્રવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પૂર્વ કચ્છના મુખ્ય શહેરો ગાંધીધામ, અંજાર અને ભચાઉ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા ગુરુવારે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે અબડાસા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો. ગાંધીધામ અને અંજાર શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કચ્છમાં સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને લીધે તલ, જુવાર, ઇસબગુલ, એરંડા, મગ અને બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:52 am

યંગ જાયન્ટ્સ બોટાદે મંદબુદ્ધિ આશ્રમમાં ભોજન કરાવ્યું:સ્વ. પ્રવિણચંદ્ર દોશીની પુણ્યતિથિ અને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા તાજેતરમાં માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમ, સમઢિયાળા ખાતે દિવ્યાંગ સભ્યોને મિષ્ટાન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વ. પ્રવિણચંદ્ર વૃજલાલ દોશીની પુણ્યતિથિ અને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે યોજાયો હતો. તા. 02-04-2026ના રોજ હનુમાન જયંતિના પાવન પ્રસંગે આ ભોજન સમારોહનું આયોજન કરાયું હતું. ભોજનમાં કેરીનો રસ, બુંદીના લાડુ, દાળ, ભાત, શાક અને રોટલીનો સમાવેશ થતો હતો. યંગ જાયન્ટ્સ બોટાદના પ્રમુખ અમન દોશીના સૌજન્યથી આ સેવાકાર્ય હાથ ધરાયું હતું. આ સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય આશ્રમના નિરાધાર અને દિવ્યાંગ સભ્યોના ચહેરા પર ખુશી લાવવાનો અને તેમની સાથે સમય વિતાવી આનંદ વહેંચવાનો હતો. યંગ જાયન્ટ્સ સંસ્થા જન સેવાને પ્રભુ સેવા માનીને આવા અનેકવિધ કાર્યક્રમો કરતી રહે છે. આ પ્રસંગે યંગ જાયન્ટ્સ બોટાદના પ્રમુખ અમન દોશી અને આગમ ડગલી સહિત સંસ્થાના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:41 am

બોટાદમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચે શહીદોને શ્રદ્ધાંજલિ આપી:એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર યુવાનોને યાદ કરાયા

બોટાદ શહેરમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર દલિત સમાજના યુવાનોની યાદમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલ 2018ના રોજ સુપ્રીમ કોર્ટના એક નિર્ણય બાદ એટ્રોસિટી એક્ટની કેટલીક કાયદાકીય જોગવાઈઓમાં ફેરફાર કરાયા હતા. આ કાયદાને ફરીથી સંપૂર્ણપણે લાગુ કરવાની માંગ સાથે થયેલા આંદોલનો દરમિયાન દલિત સમાજના કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી સહિત વિઠ્ઠલભાઈ સાપરિયા, મુકેશભાઈ પરમાર, કેશવભાઈ મકવાણા, રતિલાલભાઈ ચૌહાણ, જેરામભાઈ તાવિયા, પ્રેમજીભાઈ પરમાર, વિપુલભાઈ વાઘેલા, ઈમ્તિયાઝભાઈ કુરેશી, સિકંદરભાઈ જોખિયા, ઝાકિરભાઈ સંધી, બાબુભાઈ બથવાર, કિશોરભાઈ મકવાણા, દયાળભાઈ વાજા, હરગોવિંદભાઈ સાબળિયા અને નરેન્દ્રભાઈ બગડા જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:39 am

વલસાડમાં ગરમીનો પારો યથાવત્:ગઈકાલે બપોરે આકરા તાપથી જનજીવન પ્રભાવિત, આજે પણ 32 ડિગ્રી પાર

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગઈકાલે બપોરે આકરા તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ અનુસાર, આજે પણ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. ગુરુવારે વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 32.3C નોંધાયું હતું. વહેલી સવારથી જ આકાશ ચોખ્ખું રહેતા તાપની તીવ્રતા અનુભવાઈ હતી. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ગરમ પવનો ફૂંકાતા નોકરીયાત વર્ગ અને રાહદારીઓ પરેશાન થયા હતા. લઘુત્તમ તાપમાન 24.6C રહેતા રાત્રિના સમયે થોડી રાહત મળી હતી. જોકે, આજે શુક્રવારે પણ ગરમીનું જોર યથાવત રહેશે. મહત્તમ તાપમાન 31C થી 32C ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 24C ની આસપાસ રહેવાની સંભાવના છે. આકાશ ચોખ્ખું રહેશે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા બપોરના સમયે અસહ્ય બફારો અનુભવાઈ શકે છે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોકે, વલસાડમાં વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ પવનની ગતિમાં ફેરફાર થવાથી ગરમીના મિજાજમાં આંશિક વધ-ઘટ જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:07 am

‘સ્વાદની નગરી’ સુરતમાં ગેસની તંગીનું ગ્રહણ:વેજ બિરયાનીની શોપને લાગ્યા તાળા; માલિકે ‘Sorry, We're Closed Due to LPG Shortage’નું પોસ્ટર માર્યું

પોતાની ખાણીપીણી માટે જાણીતા સુરત શહેર પર હાલમાં ગેસની અછતનું ગ્રહણ લાગ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, વેપારીઓએ લાચારીમાં પોતાની દુકાનો બંધ કરવી પડી રહી છે. શહેરના પોશ ગણાતા અઠવા ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી ‘શ્યામ શુદ્ધ શાકાહારી વેજ બિરયાની’ શોપની બહાર માલિકે એક પોસ્ટર લગાવ્યું છે, જેના પર લખ્યું છે: “Sorry, We're Closed Due to LPG Shortage.” ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે વેપારીઓ રસોઈ બનાવી શકતા નથી, જેને પરિણામે ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડે છે. વૈશ્વિક યુદ્ધની સ્થાનિક અસરઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) માર્ગેથી થતો ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગે આયાત કરે છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ગેસની માંગ હંમેશા વધુ રહેતી હોય છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય કટોકટી હવે સ્થાનિક લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ માલિકોની રોજીરોટી છીનવી રહી છે. ભાવ વધારાનો બેવડો મારમાત્ર અછત જ નહીં, પરંતુ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ પણ વેપારીઓની કમર તોડી નાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. કેટલીક જગ્યાએ તો સિલિન્ડર મેળવવા માટે વેપારીઓએ નિયત ભાવ કરતાં પણ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. સ્થાનિકોની વ્યથાઆ અંગે પડોશના એક દુકાનદારે જણાવ્યું હતું કે, આ બિરયાની રેસ્ટોરન્ટ છેલ્લા એક મહિનાથી બંધ છે. અહીં ગુણવત્તાયુક્ત બિરયાની બનાવવામાં આવતી હતી, પરંતુ લાંબા સમયથી ગેસની બોટલ ન મળવાને કારણે અને સતત પડતી મુશ્કેલીઓને લીધે માલિકે આખરે દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:55 am

રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર થયો, બે મહિનામાં બીજીવાર વધારો ઝીંકાયો

હાલ ઇરાન-ઇઝરાયલ વોરને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ છવાયેલું છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે પ્રતિ કિલોએ 1.50નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60 જેટલો મોંઘો થયો છે. જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો. પરંતુ તેના બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો. આ ભાવવધારાથી રીક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે. કારણ કે, 2025 બાદ હવે 2026 નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. વર્ષ 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. વર્ષ 2025 માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો વર્ષ 2026 ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNG નો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે. હાલ ઈરાન-અમેરિકા-ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે અનેક દેશોમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:50 am

ચૂંટણીની જાહેરાત થતા ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા:નિઝામપુરામાં પાણીથી ત્રસ્ત રહીશોનો વિરોધ, ‘નોટા’માં મતદાન કરવાની આપી ચીમકી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના વોર્ડ નંબર-1માં આવેલા નિઝામપુરા વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અહીં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી વોટ નહીં.” સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. 30 વર્ષથી ભાજપના શાસનમાં પણ પાણીથી વંચિત છીએ: સ્થાનિક રહીશએક સ્થાનિક રહીશે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે અમે મત આપીએ છીએ ત્યારે અમારી પ્રાથમિક જરૂરિયાત ગટર, પાણી અને રોડ-રસ્તાની સુવિધા મળવી જોઈએ. અમે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનમાં હોવા છતાં પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીથી વંચિત છીએ. સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ‘જો યોગ્ય ઉમેદવાર નહીં હોય તો અમે નોટામાં મતદાન કરીશું’રહીશે વધુમાં જણાવ્યું કે, વર્તમાન ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે 2022માં મેયર હતા, ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. તે સમયે તેમણે આશ્વાસન આપ્યું હતું, છતાં આજે પણ પાણીની સમસ્યા જૈસે થે છે. ધારાસભ્ય બન્યા બાદ તેમને પત્ર લખી રજૂઆત કરતા તેમણે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી. જો આ ચૂંટણીમાં કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ ઉમેદવાર તરીકે નહીં હોય, તો અમે ચોક્કસપણે ‘નોટા’માં મતદાન કરીશું. કામ કરશે તેને જ અમારો વોટ મળશે: સમીરભાઈઅન્ય એક સ્થાનિક રહીશ સમીરભાઈએ જણાવ્યું હતું કે, અમને છેલ્લા 30 વર્ષથી પાણીની સમસ્યા છે. છેલ્લા 10 વર્ષથી તો અમે સતત રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. કોર્પોરેશન પાસે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ અહીં આયોજનનો (પ્લાનિંગનો) અભાવ છે. જે નેતા અમારું કામ કરશે, તેને ચોક્કસથી વોટ મળશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:37 am

જામનગરમાં વાતાવરણમાં એકાએક પલટો:સવારથી અમીછાંટણા શરૂ, ઉનાળામાં ચોમાસા જેવો માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી વચ્ચે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. વહેલી સવારથી જ સૂર્યના દર્શન થયા ન હતા અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે ગરમીથી પરેશાન લોકોને આંશિક રાહત મળી છે. આકાશમાં વરસાદ ગાજતો હોય તેવા અવાજો પણ સંભળાયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:32 am

નારણપુરામાં હનુમાન જયંતિએ રામોત્સવ ઉજવાયો:માતૃશક્તિ જિલ્લા સંયોજિકાના નિવાસે કાર્યક્રમ યોજાયો

કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે રામોત્સવનું આયોજન કરાયું હતું. આ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદના નારણપુરા જિલ્લાના સંયોજકના નિવાસે ઉજવાયો હતો. કાર્યક્રમમાં શ્રી હનુમાનજી અને શ્રી રામજીના ભજન-કીર્તન કરવામાં આવ્યા હતા. માતૃશક્તિના સંયોજક નેહાબેન વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આચાર પદ્ધતિથી સત્સંગનો પ્રારંભ કરાયો હતો, જેમાં હનુમાન જયંતિ નિમિત્તના ભજન, રામજી રાજાના ભજન અને તેમની સ્તુતિ કરવામાં આવી હતી. આરતી અને તિલક સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ સત્સંગ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રાંતના સહસંયોજક ચંદ્રિકાબેન, રન્ના પાર્ક પ્રખંડ સંયોજક નીતાબેન અને સોલા પ્રખંડ સંયોજિકા જયશ્રીબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમાપન જયઘોષ અને આરતી સાથે કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:17 am

મુંબઈ-દિલ્હી વચ્ચે દોડશે 'વંદે ભારત કાર્ગો ફ્રેઈટ' ટ્રેન:નવેમ્બરના અંત સુધીમાં હાઈ-સ્પીડ કાર્ગો ટ્રેનના ટ્રાયલની શક્યતા, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે 'ગેમ ચેન્જર' બનશે

ભારતીય રેલવે હવે મુસાફરોની મુસાફરીમાં ક્રાંતિ લાવ્યા બાદ માલસામાનના પરિવહન ક્ષેત્રે પણ મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. દેશની સૌથી ઝડપી ટ્રેન 'વંદે ભારત'ના સફળ મોડલને હવે માલવાહક એટલે કે કાર્ગો ક્ષેત્રે ઉતારવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા સમાચાર એ છે કે, રેલવે મંત્રાલય ટૂંક સમયમાં 'વંદે ભારત કાર્ગો ફ્રેઈટ' ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન શરૂઆતી તબક્કે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વચ્ચે દોડાવવાનું આયોજન છે, જેનો સીધો અને મોટો ફાયદો સુરત, વાપી અને વલસાડના ઔદ્યોગિક એકમોને મળવાનો છે. 160 કિમી પ્રતિ કલાકની ઝડપ હશેરેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 કોચ ધરાવતી આ હાઇ-સ્પીડ કાર્ગો ટ્રેનનું પ્રોટોટાઇપ રેક હાલમાં નિર્માણાધીન છે. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા આગામી નવેમ્બર મહિનાના અંત સુધીમાં આ ટ્રેનનું સત્તાવાર પરીક્ષણ એટલે કે ટ્રાયલ રન શરૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે માલસામાનની હેરફેર કરી શકે, જે અત્યાર સુધીની માલગાડીઓની સરખામણીએ અનેકગણી ઝડપી હશે. દૂધ-પનીર, તાજા શાકભાજી રાખવા રેફ્રિજરેટેડ સિસ્ટમઆ કાર્ગો ટ્રેનની સૌથી મોટી અને મહત્વની વિશેષતા તેની 'કંટ્રોલ્ડ ટેમ્પરેચર સિસ્ટમ' છે. અત્યાર સુધી રેલવેમાં નાશવંત ચીજવસ્તુઓના પરિવહન માટે ઘણી મર્યાદાઓ હતી, પરંતુ વંદે ભારત કાર્ગોમાં રહેલી આધુનિક રેફ્રિજરેટેડ સિસ્ટમને કારણે દૂધ, પનીર, ફળો અને તાજા શાકભાજી બગડ્યા વગર ગણતરીના કલાકોમાં દિલ્હી કે મુંબઈના બજારોમાં પહોંચશે. વાપી અને વલસાડના ફાર્મા હબમાંથી જીવનરક્ષક દવાઓ અને વેક્સિન જેવી ચીજોને ચોક્કસ તાપમાનમાં સુરક્ષિત રીતે ટ્રાન્સપોર્ટ કરી શકાશે. સી-ફૂડની નિકાસમાં આ ટ્રેન બુસ્ટર ડોઝ સમાનદક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સી-ફૂડની નિકાસમાં આ ટ્રેન બુસ્ટર ડોઝ સમાન સાબિત થશે. સુરતનું કાપડ અને હીરા બજાર અત્યારે મોટાભાગે રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભર છે, જેમાં સમય અને ખર્ચ બંને વધુ લાગે છે. જો મુંબઈ-દિલ્હી રૂટ પર આ સેવા શરૂ થાય છે, તો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ દેશના અન્ય મોટા બજારો સાથે સીધો અને હાઈ-સ્પીડ સંપર્ક સાધી શકશે. ટ્રેન ઝડપની સાથે સુરક્ષિત પણ હશેલોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે સ્થાનિક ઉત્પાદનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. આ ટ્રેન માત્ર ઝડપી જ નહીં, પણ અત્યંત સુરક્ષિત પણ હશે. તેમાં મોડ્યુલર લોડિંગ સિસ્ટમ હશે, જેનાથી સામાન ચઢાવવા-ઉતારવામાં સમયનો બચાવ થશે. આ ઉપરાંત, ટ્રેનમાં સેન્સર આધારિત ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ અને શ્રેષ્ઠ વેન્ટિલેશન સુવિધા હશે, જે સામાનની સલામતીની ખાતરી આપશે. વેપારીઓ પોતાના કાર્ગોનું રિયલ ટાઈમ લોકેશન પણ જાણી શકશે. દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને નવી ઊંચાઈ મળશે આ ટ્રેન દેશના મુખ્ય બંદરોને દિલ્હી સાથે ઝડપથી જોડશે, જેનાથી એક્સપોર્ટ-ઈમ્પોર્ટની પ્રવૃત્તિઓમાં તેજી આવશે. દક્ષિણ ગુજરાતના કેમિકલ અને પેકેજિંગ ઉદ્યોગો માટે પણ આ ટ્રેન 'ગેમ ચેન્જર' સાબિત થશે. એકંદરે, વંદે ભારત કાર્ગો ફ્રેઇટ ટ્રેન ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખશે અને દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:14 am

ગાંધીનગરમાં એન્ટી નાર્કોટિક્સ ફોર્સ ત્રાટકી:ચિલોડા પાસે બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે પેડલર 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ડભોડાનો મીત પ્રજાપતિ મુખ્ય સૂત્રધાર

ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ પૂર્વ બાતમીના આધારે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. હિંમતનગર-સુરત રૂટની એસ.ટી. બસમાં માદક પદાર્થની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે પેડલરોને રૂ .5.97 લાખની કિંમતના 11 કિલો 940 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધા છે. જેમાં મુખ્ય સૂત્રધાર ડભોડાનો મીત પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે.આ મામલે પોલીસે કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હિંમતનગરથી સુરત જતી બસમાં જતા હોવાની બાતમી મળીએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ. ઝાલા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંમતનગરથી સુરત જતી બસમાં બે ઇસમો નશાકારક જથ્થા સાથે મુસાફરી કરી રહ્યા છે અને તેઓ ચિલોડા સર્કલ પાસે ઉતરવાના છે. આ બાતમીના આધારે પોલીસે ચિલોડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બપોરના સમયે એસ.ટી. બસ ત્યાં આવી પહોંચતા બાતમી મુજબના બે શખ્સો થેલા સાથે નીચે ઉતર્યા હતા, જેમને પોલીસે તુરંત કોર્ડન કરી લીધા હતા. પ્લાસ્ટિકની 12 કોથળીઓમાં ભરેલો ગાંજો મળી આવ્યોઆ અંગે પોલીસે જણાવ્યું કે,પકડાયેલા શખ્સોની ઓળખ વિરાજ પરેશકુમાર સોલંકી (રહે. મોટી ભાગોર,ડભોડા, ગાંધીનગર) અને આદિત્ય મથુરભાઇ બારૈયા (રહે. અમદાવાદ, મૂળ પંચમહાલ) તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેના થેલાઓમાંથી કુલ 12 પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો. જેની એફએસએલ અધિકારી એ પણ પુષ્ટિ કરી છે. જેનું કુલ વજન 11.940 કિલોગ્રામ અને કિંમત અંદાજે 5,97,000 રૂપિયા છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ આ જથ્થો હડાદ ગામ પાસે રહેતા નાગજીભાઇ ગલબાભાઇ બુબડીયા પાસેથી લાવ્યા હતા. આ માટે તેમણે નાગજીભાઇને રોકડા અને પેટીએમ દ્વારા કુલ 1.30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ જથ્થો ડભોડાના ડેલુ વાસમાં રહેતા મિત પ્રજાપતિ નામના શખ્સને પહોંચાડવાનો હતો. બંને આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન અને બસની ટિકિટો મળી કુલ 6,07,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચિલોડા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નાગજીભાઇ અને મિત પ્રજાપતિને પકડવા ચક્રો ગતિમાન કરી આ નેટવર્કમાં જોડાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:05 am

બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદારનું શાસન હતું. હવે સાડા સાત વર્ષના લાંબા ગાળા બાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયતની બેઠકોમાં ફેરફાર થયો છે. અગાઉની 66 બેઠકોની સામે હવે 48 બેઠકો પર ચૂંટણી યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો પર ચૂંટણી થશે. આ ઉપરાંત, જિલ્લામાં આવેલી કુલ 10 તાલુકા પંચાયતોમાં 240 બેઠકો પર ચૂંટણી યોજાશે. તાલુકાવાર બેઠકોની વિગત જોઈએ તો: પાલનપુરમાં 34, વડગામમાં 28, દાંતામાં 20, હડાદમાં 16, અમીરગઢમાં 20, ડીસામાં 38, ઓગડમાં 20, ધાનેરામાં 26, દાંતીવાડામાં 18 અને કાંકરેજમાં 20 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાશે. જેમાં પાલનપુર નગરપાલિકામાં 44 વોર્ડ, ડીસા નગરપાલિકામાં 44 વોર્ડ અને ધાનેરા નગરપાલિકામાં 28 વોર્ડ પર મતદાન થશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:01 am

સાઅપરાધ મનુષ્યવધ અંતર્ગત પતિને 5 વર્ષની કેદ યથાવત ::પતિએ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હુમલો કર્યો હતો, સારવાર દરમિયાન પત્નીનું મોત

ગુજરાત હાઇકોર્ટે પતિને હત્યા નહીં, પરંતુ સઅપરાધ માનવવધ માટે દોષિત ઠરાવવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. આ કેસમાં આરોપી પતિએ પત્નીને પોતાના પ્રેમી સાથે ઘરમાં જ આપત્તિજનક સ્થિતિમાં જોતાં હુમલો કર્યો હતો અને એમાં પત્નીનું મોત થયું હતું. આ કેસની ટ્રાયલ ચાલી જતા પંચમહાલ, ગોધરાની કોર્ટે આરોપી પતિને સઅપરાધ માનવવધ માટે દોષિત ઠરાવ્યો હતો અને 05 વર્ષ સખત કેદની સજા ફટકારી હતી. સ્વબચાવમાં હુમલો કરતાં પત્નીનું મૃત્યુ થયું હોવાની દલીલ કરી હતીજેની સામે તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને સ્વબચાવમાં હુમલો કરતાં પત્નીનું મૃત્યુ થયું હોવાની દલીલ કરી હતી. જેને માનવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો અને ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યોગ્ય છે અને તેને આરોપીને IPC 304 અંતર્ગત કેસના તમામ પાસા અને ગુણદોષની ચકાસણી કર્યા બાદ કાયદાની જોગવાઇઓને ધ્યાનમાં લઇ ચુકાદો આપ્યો છે. આ સંજોગોમાં પતિની અપીલ રદ કરવામાં આવે છે. ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખવામાં આવે છે. આ ઘટના પંચમહાલ જિલ્લાની છે. જેમાં આરોપી પતિ 1997ના વર્ષની એક રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે તેના સરકારી ક્વાર્ટર ખાતે પરત આવ્યો હતો. ત્યારે તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ હતી. પત્નીનું આવું કૃત્ય જોતાં પતિએ પારો ગુમાવ્યો હતો અને તે સમયે પત્નીએ તેની ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે જો તે તેમની વચ્ચે આવશે તો તેને જીવવા નહીં દે. તેથી વિવાદ સર્જાયો હતો અને ગરમાગરમી થતાં પતિએ પત્નીને મારી હતી અને દિવાલ સાથે માથું પણ પછડાવ્યું હતું. પતિએ આ હુમલા દરમિયાન તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ પણ કર્યો હતો. પત્નીને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને સારવાર માટે લઇ ગયા હતા. જો કે ગંભીર ઇજાઓના પગલે તેનું મૃત્યુ થયું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:58 am

પાટણ પાલિકામાં 6 એપ્રિલથી નવા વેરા સ્વીકારાશે:ઇ-નગર સોફ્ટવેર અપડેશનને કારણે 5 એપ્રિલ સુધી કામગીરી બંધ

પાટણ નગરપાલિકામાં નવા નાણાકીય વર્ષ 2026-27 માટે સંયુક્ત વેરા સ્વીકારવાની કામગીરી 6 એપ્રિલ, 2026થી શરૂ થશે. હાલમાં ઇ-નગર સોફ્ટવેરના અપડેશન અને ઇયર એન્ડિંગની પ્રક્રિયાને કારણે 5 એપ્રિલ, 2026 સુધી વેરા સ્વીકારવા સહિતની તમામ ઓનલાઇન કામગીરી બંધ રાખવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા કરદાતાઓ માટે નવા વર્ષના વેરા ભરવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્ય સ્તરે વેરા શાખાના કોમ્પ્યુટરો અને ડેટા જનરેટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વેરા સોફ્ટવેરને નવા વર્ષ મુજબ અપડેટ કરવામાં આવી રહ્યું હોવાથી હાલમાં ટેકનિકલ કારણોસર વેરા સ્વીકારવાની કામગીરી સ્થગિત છે. આ સોફ્ટવેર અપડેટ થયા બાદ 6 એપ્રિલથી નગરપાલિકામાં રાબેતા મુજબ વેરા ભરી શકાશે. નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકો અને કરદાતાઓને જાણકારી મળી રહે તે હેતુથી પાલિકાની વેરા શાખાની બહાર લેખિત સૂચના પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ સૂચનામાં 5 એપ્રિલ, 2026 સુધી વેરા સ્વીકારવાની અને ઇ-નગર સોફ્ટવેર સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે તેમ જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:57 am

રાધનપુર કોર્ટે બે મૃતક શિક્ષકના પરિવારને વળતર ચૂકવવા આદેશ કર્યો:કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકોને ₹1.11 કરોડનું વળતર મળશે

રાધનપુરની મોટર અકસ્માત વળતર ક્લેઈમ ટ્રિબ્યુનલે (કોર્ટે) એક અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારજનોને કુલ ₹1,11,29,900નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઘટના 3 ઓક્ટોબર, 2023ના રોજ સમી તાલુકાના નાયકા અને સમી વચ્ચે બની હતી. એક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ટોકરભાઈ તેજાભાઈ પરમાર (રહે. દુદાખા) અને સમી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સરકારી શિક્ષક માધાજી લાખાજી ઠાકોર (રહે. નાની ચંદુર, તા. સમી)નું મૃત્યુ થયું હતું. આ મોટર અકસ્માત વળતર કેસમાં રાધનપુર કોર્ટની ટ્રિબ્યુનલના જજ આર. આર. ચૌધરીએ ચુકાદો આપ્યો હતો. કોર્ટે અકસ્માત સર્જનારા કાર ચાલક અને વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ટોકરભાઈના પરિવારને ₹25,03,700 અને માધાજીના પરિવારને ₹86,26,200નું વળતર મળશે. મૃતક ટોકરભાઈના પત્ની લીલાબેન અને પુત્રો મેહુલ તથા મનોજે ₹50 લાખના વળતરની માંગણી કરી હતી. જ્યારે માધાજીના પત્ની લીલાબેન ઠાકોર અને પુત્ર કુલદીપે ₹3 કરોડના વળતર માટે રાધનપુર કોર્ટમાં તેમના વકીલ મારફત કેસ દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી અને બંને મૃતકોની આવક તેમજ સંભવિત આવકના પુરાવા ધ્યાનમાં લીધા હતા. આ આધારે, કોર્ટે કાર ચાલક અને વીમા કંપનીને ઉપરોક્ત રકમનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:54 am

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી 'ભવિષ્યવાણી'

Gold & Silver Price Crash Warning: જાણીતા અમેરિકન માર્કેટ એનાલિસ્ટ અને 'ElliottWaveTrader.net'ના સ્થાપક એવી ગિલ્બર્ટ(Avi Gilburt) દ્વારા સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડાની ચેતવણી આપવામાં આવી છે. ગિલ્બર્ટના ટેકનિકલ વિશ્લેષણ મુજબ, સોનાના ભાવમાં હજુ પણ 20% જેટલો ઘટાડો થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં 4775 ડોલરથી ઘટીને 3800 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. ભારતીય રૂપિયામાં આ ઘટાડો અંદાજે 1.18 લાખની આસપાસ હોઈ શકે છે. ગિલ્બર્ટનું માનવું છે કે બજારમાં અત્યારે જે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે તે 1980ના દાયકા જેવો છે અને રોકાણકારોએ અત્યારે સાવધ રહેવાની જરૂર છે.

ગુજરાત સમાચાર 3 Apr 2026 9:53 am

હિંમતનગર A ડિવિઝન PIને અનોખી વિદાય:ફૂલડાં વરસાવી ઘોડા પર સવાર કરી ડીજે સાથે વરઘોડો નીકળ્યો

હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI પી.એમ. ચૌધરીની બદલી થતાં તેમને અનોખી વિદાય આપવામાં આવી હતી. પોલીસકર્મીઓએ ફૂલડાં વરસાવી, ઘોડા પર સવાર કરાવી અને ડીજે સાથે વરઘોડો કાઢી તેમને વિદાય આપી. PI પી.એમ. ચૌધરીની સુરત ખાતે બદલી થતાં તેમને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ સ્ટેશન પરિવારે તેમના માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. વિદાય સમારંભ કાર્યક્રમ બાદ, PI ચૌધરીએ પાઘડી ધારણ કરી ઓફિસમાંથી બહાર આવ્યા હતા. આ સમયે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમના પર સુગંધિત ફૂલડાં વરસાવ્યા હતા. ત્યારબાદ તેમને ઘોડા પર બેસાડી, ડીજેના તાલે પોલીસ લાઈનમાં વિદાય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ PI ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે, પોલીસ સ્ટેશન પરિસરમાં સૌએ સાથે ભોજન લીધું હતું અને ફરજની યાદગીરી રૂપે ભેટ આપી વિદાય આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:52 am

હિંમતનગરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી:કુબેરધામ ખાતે નિશાકાલીન લંગુરયાગ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા

સમગ્ર દેશ સહિત હિંમતનગરમાં પણ હનુમાન જયંતિના પવિત્ર પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મહાવીરનગર વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન દ્વારા બજરંગબલીના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો, જેમાં કુબેરધામ ખાતે યજ્ઞ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાના સામુહિક પાઠ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કુબેરધામ: નિશાકાલીન લંગુરયાગ અને ભવ્ય અન્નકૂટ મહાવીરનગર સ્થિત કુબેરધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા મંદિર: સામુહિક હનુમાન ચાલીસા અને રામધૂન બીજી તરફ, મહાવીરનગરના જ ઉમિયા મંદિર પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને ગાયત્રી પરિવારના સહયોગથી ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર (શાંતિકુંજ, હરિદ્વાર) અને કાંકરોલ ગાયત્રી પ્રજ્ઞાપીઠ દ્વારા પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યના સાનિધ્યમાં આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ, શ્રીરામ સ્તુતિ અને સમૂહ આરતી કરવામાં આવી હતી. સાથે જ ભગવાન શ્રીરામ અને હનુમાનજીના જીવન ચરિત્ર વિશે પ્રેરણાદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓનો મહેરામણ આ બંને ધાર્મિક કાર્યક્રમોમાં હિંમતનગરના સ્થાનિક રહીશો, બાળકો, વડીલો અને મોટી સંખ્યામાં માતૃશક્તિએ ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:36 am

લીમખેડાના માંન્લીમાં મકાનમાં આગ:પરિવાર અને પશુઓ સમયસર બહાર નીકળતા મોટી જાનહાનિ ટળી

લીમખેડા તાલુકાના માંન્લી ગામે ગત રાત્રિએ એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મહેશભાઈ પ્રતાપભાઈ પટેલનું આખું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, પરિવારના સભ્યો અને પશુઓનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેશભાઈનો પરિવાર રાત્રિનું ભોજન પતાવીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ મકાનના એક ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ પરિવારના સભ્યોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક મકાનમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે ઘરના આંગણે બાંધેલા પશુઓને પણ સમયસર છોડી દેતા તેમનો જીવ બચી ગયો હતો. મહેશભાઈનું મકાન કાચું અને લાકડાનું બનેલું હોવાથી તેમજ રાત્રિના સમયે પવનનું જોર વધુ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે દૂરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક માંન્લી ગામે પહોંચી હતી. ઇમરજન્સી સેવા 108 અને લીમખેડા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ લાકડાનું મકાન સંપૂર્ણપણે બળી ગયું હતું. ફાયર વિભાગે આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ અગ્નિકાંડમાં મહેશભાઈ પટેલના મકાનમાં રહેલું અનાજ, જીવનજરૂરી સામાન અને રોકડ રકમ સહિતની તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં, આ આગે પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:35 am

સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી:ભક્તોએ કેક કાપી, પ્રસાદ વહેંચી પવનપુત્રનો જન્મદિવસ ઉજવ્યો

સુરેન્દ્રનગર શહેરમાં બજરંગબલી હનુમાન દાદાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિઠલપ્રેસ રોડ પર આવેલા બળીયા હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મંદિરે ડીજે સાઉન્ડ અને નાશિક ઢોલના તાલે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની પરંપરા મુજબ, રાજાભાઈ સર્વોદય શોરૂમવાળા દ્વારા કેક કાપીને ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત, ગાંઠીયા, સેવ-બુંદી અને મોહનથાળ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમેશભાઈ જીવણી (માં આશાપુરા ઇલેક્ટ્રિકવાળા) પણ કેક કાપવાના કાર્યક્રમમાં જોડાયા હતા. પરી એનિમેશનવાળા પરેશભાઈ અને હિતેશભાઈ સહિતના આગેવાનો તથા વેપારી મિત્રોના સહયોગથી આ ભગીરથ સેવા કાર્ય સંપન્ન થયું હતું. દાદાના ભાવિક ભક્તોએ પ્રાર્થના કરી હતી કે દાદાની કૃપાથી દર વર્ષે આવા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થતું રહે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:27 am

ગીર સોમનાથમાં કમોસમી વરસાદ:વેરાવળ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે રસ્તાઓ પર પાણી

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વેરાવળ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે આશરે 5:30 વાગ્યે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથેના વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માત્ર 15થી 20 મિનિટ સુધી પડેલા મુશળધાર વરસાદને કારણે શહેર અને ગામડાંના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે સવારે બહાર નીકળેલા લોકો અને વાહનચાલકોને થોડા સમય માટે અવરજવરમાં મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદની ખેડૂતો પર મિશ્ર અસર જોવા મળી શકે છે. એક તરફ ગરમીથી રાહત મળતા કેટલાક પાકને ફાયદો થઈ શકે છે, જ્યારે બીજી તરફ અચાનક પડેલા ભારે વરસાદથી અમુક પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:22 am

અર્થશાસ્ત્રના પ્રશ્નના વિવાદ મામલે હાઇકોર્ટે GPSCને બરાબરની ઝાટકી:'તમારા ચેરમેન-સેક્રેટરી પોતાને કોર્ટની ઉપર માને છે, વારંવાર કહેવા છતાં કેમ સોગંદનામું કરતા નથી?'

GPSC દ્વારા આયોજીત પરીક્ષાના પ્રશ્નના જવાબના વિવાદના મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલા એક કેસની સુનવણીમાં કોર્ટે GPSCની ભારે ઝાટકણી કાઢી હતી. કોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટ અગાઉ GPSCના પેપર સેટર્સ ઉપર સવાલો ઉઠાવી ચૂકી છે. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે?કોર્ટે GPSCના વકીલને કહ્યું હતું કે તમે અગાઉ જે નિવેદન કર્યું હતું એ મુજબનો ઠરાવ ક્યાં છે? તમારા સેક્રેટરી આ કોર્ટનું સીટીંગ પુરું થવાની રાહ જોઇ રહ્યા છે? તમારા ચેરમેન અને સેક્રેટરીને કોર્ટમાં બોલાવવાથી કોર્ટ ખચકાશે નહીં. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે અને કોર્ટના વારંવાર કહેવા છતાં શા માટે સોગંદનામું કરતા નથી? શું તેઓ રોસ્ટર બદલાવવાની રાહ જોઈ રહ્યા છે? શા માટે તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ના પાઠવવામાં આવે? નોંધપાત્ર છે કે અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો આ મામલો છે અને એમાં હાઇકોર્ટે અગાઉ આદેશ કર્યો હોવા છતાંય GPSC યોગ્ય જવાબ આપી રહ્યું નથી. તેથી અગાઉ તો હાઇકોર્ટે GPSCના સોગંદનામાને આંખમાં ધૂળ નાંખવા સમાન પણ ગણાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેમ છતાં 20મી માર્ચના આદેશમાં હાઇકોર્ટે GPSCને એક વધુ તક આપી હતી અને સ્પષ્ટ સોગંદનામું કરવાનું કહ્યું હતું. હાઇકોર્ટે 16 અને 20 માર્ચના રોજ કરેલા આદેશ મુજબનું GPSCએ સોગંદનામું કર્યું નહોતું અને તેથી હાઈકોર્ટે ફરી એકવાર ભારે નારાજગી દર્શાવી હતી. કોર્ટે એક તબક્કે એવી ટકોર પણ કરી હતી કે GPSC અત્યંત વિશાળ સંસ્થા હોવાનો દાવો કરે છે. તે વર્ષે 200 એટલે કે દર બીજા દિવસે એક પરીક્ષા લે છે. તેમ છતાંય આ બધાની જવાબદારી લેવા તૈયાર નથી. તે ફક્ત પોતાને પરીક્ષાના વ્યવસ્થાપક તરીકે જણાવીને સત્તાઓ ભોગી રહ્યું છે, પરંતુ જવાબદારી પેપર સેટરના માથે નાખી રહ્યું છે. કોર્ટે અગાઉના આદેશ કરીને તમને પુરતી તક આપી છે, પરંતુ તેમ છતાંય તેનું વલણ માત્ર અને માત્ર અહંકાર ભર્યું છે. હવે આ કેસની વધુ સુનાવણી 07 એપ્રિલના રોજ રાખવામાં આવી છે. જેમાં ગવર્મેન્ટ પ્લીડર GPSC વતી જવાબ રજૂ કરે તેવી શક્યતાઓ છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ગુજરાત જાહેર સેવા આયોગ GPSCને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915 માં પ્રકાશિત થયેલા પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. GPSC પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટરૂમમાં થયેલી દલીલો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે GPSCના વકીલે કોર્ટને જાણ કરી કે વિવાદિત પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી જ બનાવવામાં આવ્યો હતો. 2025ની GPSC પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેના બે વિધાનોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રથમ કે પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું અને બીજું તે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે. એક માર્ક માટે રહી ગયેલી ઉમેદવારે આન્સર કી હાઇકોર્ટમાં પડકારી એક ઉમેદવાર જે ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે લાયક ઠરવામાં માત્ર એક ગુણ માટે પાછળ રહી ગઈ હતી, તેણે GPSCની સત્તાવાર આન્સર-કીને પડકારી હતી. તેણીએ દલીલ કરી હતી કે આન્સર-કીમાં આપવામાં આવેલો જવાબ ખોટો હતો. જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો આપવામાં આવેલા વિકલ્પો આ મુજબ હતા. A:માત્ર એક, B:માત્ર બે, C:એક અને બે બંને અને D:ઉપરનામાંથી કોઈ નહીં. ઉમેદવારે તેના જવાબ તરીકે 'C' પસંદ કર્યો હતો, પરંતુ GPSC તેની સાથે અસંમત હતું. જેના કારણે જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો હતો. ઉમેદવારના વકીલોએ રજૂઆત કરી હતી કે GCERT અને NCERTના પુસ્તકો દર્શાવે છે કે તેનો જવાબ સાચો હતો. જો કે GPSC આ વાત સાથે સહમત ન થયું અને તેના વકીલે ભારપૂર્વક જણાવ્યું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણ એટલે કે 1915 માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી બનાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે GPSC ને તે પેપર સેટરની ઓળખ જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેમણે પ્રશ્ન તૈયાર કરવા માટે આ મૂળ લખાણ પર ભરોસો કર્યો હતો, ખાસ કરીને જ્યારે GPSC નો જવાબ તે શાળાના પાઠ્યપુસ્તકો સાથે મેળ ખાતો ન હતો. જેને GPSC પોતે ઉમેદવારો માટે સંદર્ભ સામગ્રી તરીકે સૂચવે છે. GPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળGPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેના બદલે પુસ્તકની માત્ર એક PDF કોપી રજૂ કરી. જો કે GPSC એ જણાવ્યું કે તે PDF ના સ્ત્રોતને ઓળખવામાં અસમર્થ છે. આ બાબતે હાઇકોર્ટે GPSC ની ટીકા કરતા તેને જિદ્દી અને અહંકારી ગણાવ્યું અને પોતાની ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યો હતો. કોઈ મૂળ પુસ્તક રજૂ ન કરવામાં આવતા કોર્ટે GPSC એ પરીક્ષાનો પ્રશ્ન તૈયાર કરવા માટે જે લખાણનો ઉપયોગ કર્યો હતો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે GPSC સચિવને એક એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જ્યારે મૂળ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય, ત્યારે શું એવા પુસ્તકમાંથી પ્રશ્નો તૈયાર કરવા યોગ્ય છે કે જેની ભૌતિક નકલ ઉપલબ્ધ નથી અને જે સોર્સમાંથી PDF ડાઉનલોડ કરવામાં આવી હતી તે પણ ઉપલબ્ધ નથી ? જો આવી પ્રથા માન્ય હોય, તો એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે આવા પુસ્તકની અધિકૃતતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:21 am

સેવન્થ ડેના સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીરને જામીન:રાજ્ય સરકારે જામીન અરજીનો સખત વિરોધ કર્યો, મૃતક પણ આરોપી કિશોરને હેરાન કરતો હોવાનો રિપોર્ટ

અમદાવાદના બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની જામીન અરજી અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ, આ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયો હતો. વળી હત્યાની ઘટના પહેલા મૃતક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને હેરાન કરતો હતો. હત્યાની ઘટના બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સેવન્થ ડે સ્કૂલે કાઢી મૂક્યો છે, તે ગુસ્સા વાળા સ્વભાવનો છે. 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યાઆ કેસની ટ્રાયલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલુ થઈ ગઈ છે. ચાર્જશીટમાં કુલ 55 સાક્ષી છે, જે પૈકી 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યા છે. પ્રોબેશન ઓફિસરે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂક્યો હતો. રાજ્ય સરકારે ગુનાની ગંભીરતાને ટાંકીને જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. મૃતક સગીરની માતાના વકીલે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓને વિગતવાર ટાંકીને સમજાવ્યું હતું કે તેનો હેતુ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકમાં સુધાર લાવવાનો અને તેનું પુનર્વસન કરવાનો છે. કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પોતે સ્કૂલે જતું બાળક છે અને કેસ ચાલવામાં સમય લાગશે તે બાબતને ધ્યાનમાં રાખીને, કિશોરને તેના પિતા દ્વારા 10 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવે છે. શું હતી ઘટના? ​​​​​​​અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:06 am

હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:નિરોણામાં બાઈક થાંભલા સાથે ભટકાતા યુવકનું મોત, ભવાનીપર પાસે કારની ટક્કરથી વૃદ્ધને કાળ આંબ્યો

નખત્રાણા તાલુકાના નિરોણામાં આવેલ લયવારા વાસમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક વીજપોલ સાથે ભટકાતા ગંભીર ઈજાઓને કારણે 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે અબડાસા તાલુકાના ભવાનીપર નજીક અરટીકા કારે બાઈકને હડફેટે લેતા વૃદ્ધ બાઈક ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા ગામના 25 વર્ષીય કાનજી સામતભાઈ આહીરનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બનાવ 2 એપ્રિલના સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવક બાઈક પુરઝડપે ચલાવીને જઈ રહ્યો હતો. એ દરમિયાન લયવારા વાસમાં બાઈક વીજપોલ સાથે ભટકાયો હતો.અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે નિરોણા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બીજી તરફ નલિયા પોલીસ મથકે ફરિયાદી દિનેશ પરષોત્તમભાઈ ભાનુશાલીએ આરોપી અરટીકા કાર નંબર જીજે 10 સીએન 5936 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 31 માર્ચના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ફરિયાદીના 65 વર્ષીય પિતા બાઈક લઇને ખેતરથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે ભવાનીપર-બીટ્ટા હાઈવે પર આરોપીએ બાઈકને ટક્કર મારી હતી.જેમાં ગંભીર ઈજાઓ પહોચતા ફરિયાદીના પિતાનું મોત થયું હતું.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ બાઈકને ટક્કર મારી હતી.જેમાં ગંભીર ઈજાઓ પહોચતા ફરિયાદીના પિતાનું મોત થયું હતું.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કર્યો હતો.બનાવને પગલે નિરોણા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બીજી તરફ નલિયા પોલીસ મથકે ફરિયાદી દિનેશ પરષોત્તમભાઈ ભાનુશાલીએ આરોપી અરટીકા કાર નંબર જીજે 10 સીએન 5936 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 31 માર્ચના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ફરિયાદીના 65 વર્ષીય પિતા બાઈક લઇને ખેતરથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે ભવાનીપર-બીટ્ટા હાઈવે પર

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:59 am

ટીબી મુક્ત પંચાયત‎ અભિયાન:ભચાઉમાં ટીબી ફ્રી પંચાયતોના સરપંચો સન્માનાયા

વિશ્વ ક્ષય દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉ, સીએચસી ભચાઉ તથા મેરા યુવા ભારત ભુજના સંયુક્ત ઉપક્રમે ભચાઉ સીએચસી ખાતે જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયું હતું. કાર્યક્રમમાં ક્ષયરોગ અંગે જાગૃતિ સાથે આરોગ્ય સેવાઓમાં કામગીરી બદલ કર્મીઓને સન્માન કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ટીબી ફ્રી પંચાયત તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર 7 પંચાયતોના સરપંચોને તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત અને સીએચસી ભચાઉના સુપ્રિટેન્ડેટ ડો.કુમારના હાથે ઈનામ આપી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, વર્ષ દરમિયાન ટીબી શોધમાં પ્રથમ ત્રણ ક્રમે રહેલા મેડિકલ ઓફિસર ડો. નિખિલેશ પટેલ (એમડી ,વાગડ હોસ્પિટલ), ડો. દુર્ગેશ પટેલ, ડો. અભિષેક ઠક્કર (આરોગ્યમ) ને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા. જિલ્લા ટીબી અધિકારી દ્વારા રાજ્ય સ્તરીય કાર્યક્રમને ઉપસ્થિતિઓએ ઓનલાઇન સાંભળ્યો હતો. સાથે જ વિભાગના વિવિધ કેડરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પાર્થ પટેલ અને કુલદીપસિંહ, હિતેશ ટાંક, પ્રિયંકાબેન, ભાવનાબેન, ઝહીરભાઈ, પ્રદીપભાઈ તેમક અનિલભાઈ ચાવડાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તબીબો દ્વારા ક્ષય રોગ સામેની લડતમાં માત્ર સારવાર જ નહીં, પરંતુ સમયસર નિદાન, જાગૃતિ અને જનભાગીદારી અંગે પણ જાણકારી આપી હતી, ટીબીથી પીડાતા દર્દીઓને રાશન કીટનું વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવાવા નિલેશભાઈ, દિશાબેન સુથાર, પટેલભાઈએ સહયોગ આપ્યો હતો, તેમજ આભારવિધિ નિલેશભાઈએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:58 am

ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીની માંગ:પીએમને પત્ર લખી કચ્છની ધરતી પરત મેળવવા માટે ફરી રજૂઆત

ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા સંઘર્ષની યાદમાં ઉજવાતા 61મા શૌર્ય દિવસને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ ત્યારે ભુજમાંથી કચ્છની સરહદી ધરતીનો મુદ્દો ફરી રાષ્ટ્રીય પટલ પર લાવવાનો પ્રયાસ કરાયો છે. કચ્છ સત્યાગ્રહ મંડળ 1968ના પ્રમુખ કે.વી. ભાવસારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કચ્છની આશરે 300 ચો.કિ.મી. જમીન પરત મેળવવા દૃઢ કાર્યવાહી કરવાની વિનંતી સાથે રજૂઆત કરી છે. ભાવસારેએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, જેમ ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહીથી દેશની નારીઓને ન્યાય મળ્યો છે, તેમ 60 વર્ષથી ચર્ચાસ્પદ કચ્છની સરહદી જમીન મુદ્દે પણ કેન્દ્ર સરકાર કડક પગલાં ભરે તેવી અપેક્ષા છે. તેમણે વધુમાં જણાવ્યું કે 30 જુલાઈ 2025માં લોકસભામાં થયેલી મૌખિક ચર્ચા દરમિયાન વડાપ્રધાન દ્વારા 1965ની મધ્યસ્થીના પરિણામે છાડબેટ ગુમાવવો પડ્યો હતો અને કચ્છ જિલ્લાના લગભગ 300 ચો.કિ.મી. જમીન અંગે સંસદમાં મુદ્દો ઉઠાવાયો હોય તેવો આ પ્રથમ સંભવિત પ્રસંગ ગણાય છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, આ ઐતિહાસિક અને સંવેદનશીલ જમીન મુદ્દે વર્ષોથી સ્પષ્ટતા અને કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ છે. પાકિસ્તાન સાથેની નીતિ અંગે પણ તેમણે કડક અભિપ્રાય વ્યક્ત કરી જણાવ્યું કે પાકિસ્તાન માત્ર કડક પ્રતિસાદની ભાષા જ સમજી શકે છે. 61મા શૌર્ય દિવસ પૂર્વે, એટલે કે 9 એપ્રિલ સુધીમાં, કચ્છ જિલ્લાની જમીન પરત મેળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:55 am

PGVCLની સરાહનીય કામગીરી:પૂર્વ કચ્છના 38 ગામોએ વીજબીલમાં નોંધાવ્યો ‘ઝીરો પેન્ડન્સી’નો વિક્રમ

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ભચાઉ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી વીજ બિલોની વસૂલાત માટે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લાના 38 ગામોએ ઉત્તમ આર્થિક શિસ્ત અને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતા 31 માર્ચના રોજ આ ગામોના તમામ ગ્રાહકોએ પોતાનું 100 ટકા વીજ બિલ ભર્યું છે અને ‘ઝીરો પેન્ડન્સી’નો રેકોર્ડ નોંધાવ્યો છે. PGVCL દ્વારા જાન્યુઆરી મહિનાથી તાલુકા સ્તરે ટીમો બનાવી બાકી લેણાંની વસૂલાત માટે કામગીરી શરૂ કરાઈ હતી. તંત્રની આ કામગીરીને ગ્રામ્યજનતાએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સ્વયં આગળ આવી બાકી બિલો ચૂકવ્યા હતા. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની જાગૃતિ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. PGVCL તંત્રએ આ કામગીરી બદલ તમામ ગામોના ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. સમયસર વીજ બિલ ચુકવવાથી વીજ પુરવઠાની સુવિધામાં સુધારો અને નેટવર્કના વિકાસ માટે પણ મદદરૂપ બનશે. 100% વીજ બિલ ચુકવનારા ગામનાભચાઉ પંથકના ચોબારી, નેર, અમરસર, લાખાવટ, દેશલપર, અને ફતેપર, મેઘપર, બંધડી, બનીયારી, સુખપર, ભુજપર, કુંજીસર, પાંકડસર , નીલપર ગામએ સો ટકા સિદ્ધિ મેળવી છે. જયારે રાપર પંથકના સોનાલવા, છાપેડા વાંઢ, પાલનપર, ઝંગરા, બાલાસરી ગામોનો સમાવેશ થાય છે. બાલાસર પેટા વિભાગીયમાં લાલા હિરાણી વાંઢ, ફાફડા વાંઢ, શંભુ વાંઢ, ખોરોડી વાંઢ, પગી વાંઢ સારણ વાંઢ જયારે સામખીયાળી પેટા વિભાગીયમાં ભાસવાણ, ગોડપર, ખોડાસર, લાખાપર, લગધીરગઢ, ચાંદ્રોડી. તો ભીમાસર પેટા વિભાગીયમાં ફુલપર, નદિલા વાંઢ, ખેડુકા વાંઢ, ભક્તાવારી વાંઢ, કાનપર, ગામના રહિશોએ પોતાની નૈતિક ફરજ અદા કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:51 am

બુટલેગર થયો બેફામ:મંગળવારે એલસીબીની રેડમાં ફરાર થયેલો બુટલેગર ગુરૂવારે ફરી દારૂ વેચતો ઝડપાયો !

સામાન્ય રીતે પોલીસનો દરોડો પડ્યા બાદ આરોપીઓ બીકને કારણે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. પરંતુ પશ્ચિમ કચ્છમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે,બે દિવસ પહેલા એલસીબીએ દરશડીમાં દરોડો પાડી રૂપિયા 12.75 લાખનો દારૂ પકડ્યો ત્યારે ભાગી ગયેલો બુટલેગર જાણે પોલીસની કોઈ બીક ન હોય તેમ એકટીવા પર દારૂ વેચવા નીકળ્યો હતો જેને સ્થાનિક પોલીસે રૂપિયા 25 હજારની કિંમતના દારૂ અને બીયર સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી ભાવસંગજી ભગુભા જાડેજા દરશડીથી બિલેશ્વર જતા રોડ પર સાકરીયા પીરની દરગાહ પાસે પોતાની કબ્જાની એકટીવામાં દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેની પાસેથી રૂપિયા 25 હજારની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,એલસીબીએ મંગળવારે દરશડીમાં દરોડો પડ્યો ત્યારે રૂપિયા 12.75 લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો. એ દરમિયાન આરોપી ભાવસંગજી પોલીસને હાથ લાગ્યો ન હતો. આરોપીઓ બે કારમાં રાખેલ દારૂનો જથ્થો છુપાવવા માટેની પેરવીમાં હતા અને અચાનક પોલીસ આવી જતા ભાગી છુટ્યા હતા. જોકે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પોલીસને હાથ લાગ્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીને જાણે કોઈ બીક ન રહી હોય તેમ બુધવારે એકટીવા પર દારૂનો વેચાણ કરવા નીકળતા ઝડપી લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:49 am

જાહેરાત પોકળ નીકળી:એપ્રિલમાં એક સાથે ત્રણ મહિનાનું રાશન મળવાની વાત હજુ હવામાં

સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતો સામાન્ય જનતા માટે હાલાકી સર્જી શકે છે, તેનો જીવંત દાખલો એપ્રિલ મહિનાના પ્રારંભે જ જોવા મળ્યો છે. ગત 19 માર્ચના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા સત્તાવાર X (ટ્વિટર)એકાઉન્ટ પર જાહેરાત કરાઈ હતી કે એપ્રિલ, મે અને જૂનનું રાશન એકસાથે અપાશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એપ્રિલ શરૂ થઇ ગયો છતાં રેશનિંગની દુકાને પહોંચતા ગરીબ લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. જાહેરાત મુજબ, લાભાર્થીઓને સુવિધા રહે તે હેતુથી ત્રણ મહિનાનો જથ્થો એકસાથે આપવાની વાત હતી. જોકે, આ જાહેરાતના અમલીકરણ માટે જરૂરી એવા ‘લેખિત આદેશ’ હજુ સુધી જિલ્લા પુરવઠા વિભાગ સુધી પહોંચ્યા જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ પુરવઠા વિભાગના કર્મચારીઓ સ્વીકારી રહ્યા છે કે તેમને પણ આ અંગેની જાણકારી માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ મળી છે ! કોઈ સત્તાવાર પરિપત્ર કે સૂચના મળી નથી. સરકારની જાહેરાત પર વિશ્વાસ મૂકીને અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છેલ્લા બે દિવસથી સસ્તા અનાજની દુકાનો પર રાશન લેવા પહોચી રહ્યા છે. જ્યારે દુકાનદારો કહી રહ્યા છે કે “અમારી પાસે કોઈ સૂચના કે જથ્થો નથી”, ત્યારે આ જનતાની સ્થિતિ દયનીય બની જાય છે. રેશનિંગના દુકાનદારો પણ મૂંઝવણમાં છે કારણ કે તેમની પાસે ન તો વધારાનો સ્ટોક છે, ન તો સરકાર તરફથી કોઈ દિશા-નિર્દેશ.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:45 am

સાયબર ઠગાઈ:માધાપરના વૃદ્ધે એપ્લીકેશન ફાઈલ ખોલતા 99 હજારની સાયબર ઠગાઈ

માધાપરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી ફાઈલ ડાઉનલોડ કરતા જ રૂપિયા 99 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો.યુનિયન બેંકના લોગો જેવી ફાઈલ ખુલી ન હતી અને અલગ અલગ 6 ટ્રાન્ઝેક્શનથી ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માધાપરમાં રહેતા ફરિયાદી ગીરીશભાઈ દેવજીભાઈ સોનેજીએ માધાપર પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 18 માર્ચના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીને પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એપ્લીકેશન ફાઈલ આવેલી હતી.યુનિયન બેંકના લોગો જેવી ફાઈલ દેખાતા ફરિયાદીએ બેંકની વિગતો હોવાનું સમજી ફાઈલને ડાઉનલોડ કરી હતી.પરંતુ ત્યારબાદ ફાઈલ ખુલી ન હતી. જેથી ફરિયાદીએ તે સમયે વોટ્સએપમાંથી બહાર નીકળી ગયા હતા.ત્યારબાદ સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ફરિયાદીને મોબાઈલમાં મેસેજ આવ્યા હતા જેમાં પોતાના યુનિયન બેંકના ખાતામાંથી છ અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને રૂપિયા 99,990 ઉપાડી ગયા હતા. જેથી ફરિયાદી તાત્કાલિક બેંક ગયા હતા અને તપાસ કરતા ઓનલાઈન ફ્રોડ થયેલો હોવાનું સામે આવ્યું હતું.જે મામલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ લખાવી હતી.સમગ્ર મામલે માધાપર પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:43 am

કેડીસીસી બેન્કનો 325 લાખનો ચોખ્ખો નફો:ધી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી.નો કુલ બિઝનેસ રૂ. 793 કરોડને પાર પહોંચ્યો

ધી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી. (KDCC Bank) દ્વારા ગત નાણાંકીય વર્ષના અંતે રૂ. 325 લાખના ઐતિહાસિક ચોખ્ખા નફા સાથે કુલ બિઝનેસ રૂ. 793 કરોડે પહોંચાડવાની મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સાથે વર્ષના અંતે બેન્કનું નેટ NPA 0% રહેવા પામ્યું છે. બેન્કની કામગીરી અંગે માહિતી આપતા જણાવાયું છે કે, બેન્કની ડિપોઝીટમાં વધારો થઈને રૂ. 525.16 કરોડ થયેલ છે, જે બેન્ક પ્રત્યે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ થાપણદારોની થાપણ વિમાથી સુરક્ષિત છે અને અન્યની સરખામણીમાં ઊંચો વ્યાજદર થાપણદારોને ચૂકવવામાં આવે છે. બેન્કનો CD રેશિયો 51.09% રહેલ છે. બેન્ક દ્વારા કરંટ એકાઉન્ટ ધારકોને નિયમોને આધિન NEFT, RTGS કોઈપણ ચાર્જ વગર કરી આપવામાં આવે છે. તેમજ બેન્ક દ્વારા ચાલુ વર્ષથી ડીજીટલ સેવાઓ મોબાઇલ બેન્કીંગ સાથે “UPI” ના માધ્યમ દ્વારા G-pay, PhonePay અને QR ની સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. બેન્ક દ્વારા વર્ષ દરમિયાન રૂ. 268 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને પાક ધિરાણમાં રૂ. 1254 લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવતા ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણ પૂરું પાડવામાં આવેલ છે. દેશના વડાપ્રધાન અને સહકાર મંત્રીના “સહકારથી સમૃદ્ધિ” મંત્ર અંતર્ગત છેવાડાના માનવી સુધી બેન્કની સુવિધા પહોંચાડવા 25 જેટલી નવી બહુહેતુક મંડળીઓની રચના કરવામાં આવેલ છે અને 158 મંડળીઓને સરકારશ્રીની કોમ્પ્યુટરાઈઝેશન યોજનામાં જોડવામાં આવેલ છે. બેન્કના ચેરમેન દેવરાજભાઈ કે. ગઢવીએ આ ઐતિહાસિક પ્રગતિ બદલ તમામ થાપણદારો, સહકારી સંસ્થાઓ, ખેડૂતો, પશુપાલકો, ગ્રાહકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નાબાર્ડ, RBI, સરકાર, સાંસદ, ધારાસભ્યો તેમજ બેન્કના સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પશુપાલકોને દર માસે રૂ. 45 થી 50 કરોડનું ચુકવણુંબેન્ક દ્વારા સરહદ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને દર માસે રૂ. 45 થી 50 કરોડનું ચુકવણું વિનામુલ્યે કરવામાં આવે છે, જે વર્ષના અંતે અંદાજીત રૂ. 500 કરોડની આજુબાજુ થાય છે. સરહદ ડેરી સાથે જોડાયેલ 34000 પશુપાલકોને તથા બેન્કના તમામ ગ્રાહકોને તેમના જ ગામમાં રોકડ નાણાં મળી રહે તે હેતુથી 520 મંડળીઓને માઈક્રો એ.ટી.એમ. (Micro ATM) આપવામાં આવ્યા છે. જેથી પશુપાલકો અને ગ્રામજનોને ઘરબેઠા બેન્કીંગ સુવિધા મળી રહે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:42 am

સિટી એન્કર:લીંબુ હૉલસેલમાં 110 માં વેચાય, જયારે છૂટકમાં 200

ભુજમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શાકભાજીના હોલસેલ માર્કેટની સરખામણીએ છૂટક બજારમાં ભાવ વધુ હોવાના કારણે સામાન્ય ગ્રાહકોને વધારાનો આર્થિક બોજ સાથે શાકભાજી ખરીદવા પડે છે. હોલસેલમાં રૂ. 10થી 45 સુધીમાં મળતા શાકભાજી રૂ. 80 થી 100 સુધીમાં વેચાય છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં પાણીદાર શાકભાજીની માંગ વધતી જાય છે. લીંબુ હોલસેલમાં રૂ. 110- 120 માં વેચાય છે. જયારે છુટકમાં રૂ.200 સુધીમાં વેચાય છે. તેવી જ રીતે ગુવારનો ભાવ રૂ. 60- 80 અને છૂટકમાં રૂ.120 માં વેચાય છે. વટાણા, ભીંડા અને ફલાવર જેવા સામાન્ય શાકભાજી જે લોકો પોતાના રોજીદા જીવનમાં વપરાશ કરતા હોય છે, છેલ્લા 2થી 3 મહિના જે સામાન્ય ભાવમાં મળતા શાકભાજીના ભાવ હવે ઊનાળામાં વધતા જોવા મળ્યા છે. હોલસેલ અને છૂટક ભાવ વચ્ચે રૂ. 30થી 60 સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે. વેપારીઓ મુજબ, ઉનાળામાં માલ જલદી બગડવાની શક્યતા, પરિવહન ખર્ચ, સ્ટોરેજ, મજૂરી અને અન્ય ખર્ચને ભાવવધારાનું કારણ ગણાવે છે, પરંતુ ગ્રાહકોના મત મુજબ આટલો ભાવફેર યોગ્ય લાગતો નથી. મોંઘાદાટ લીંબુની ખરીદી કરતી ગૃહિણીઓ માટે સ્થિતિ મુશ્કેલ બનીસંસ્કાર નગરમાં રહેતા પ્રતિભા બહેનના જણાવ્યા અનુસાર લીંબુના વધતા ભાવને લઈને તેઓ તથા તેમના પરિવારના અન્ય સભ્યો લીંબુની જગ્યાએ શાક બનાવામાં ટમેટા અથવા વિનેગરનો ઉપયોગ કરે છે. તેમની સાથે રહેલા બહેનનું પણ કહેવું એ જ હતું કે અમે મધ્યમ વર્ગથી આવ્યે છીએ અને શાકભાજીના એટલા ભાવ અમારા મહિનાના બજેટને વિખેરી નાખે છે જેના લીધે અમે તો એક ટાઈમ અલગ અલગ દાળ ખાવાનું ચાલુ કર્યું છે અને તેમાં પણ લીંબુની જગ્યાએ લીંબુના ફૂલ અથવા આમચૂર પાવડરનો ઉપયોગ કરીયે છીએ. જેને લીધે અમારે એક ટકના શાકભાજીનો ખર્ચ બચે. કારણ કે થોડા થોડા વધેલા ભાવ મહિના અંતે મોટો ખર્ચ ઉભો કરે છે. હજી પણ ભાવ વધવાની શક્યતાશહેરનાં વેપારીએ જણાવ્યું કે, લીંબુના ભાવ જેવી રીતે ઉનાળાની ઋતુ આગળ વધશે તેવી જ રીતે 250 ને પાર થવાની શક્યતા છે. સાથે જ ટમેટા, ગુવાર, ચોળી, ભીંડા, ફ્લાવર, કોબીના ભાવમાં પણ વધારો થવાની શકયતા છે. હૉલસેલ એન છૂટક બજારના ભાવ કિલોમાં

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:39 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાલિકાની 44 બેઠક માટે 225થી વધુ ફોર્મ ઉપડ્યા !

ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં જ રાજ્યભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણી એપ્રિલના અંતિમ સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહમાં યોજાવાની શક્યતા હોવાથી છેલ્લા બે અઠવાડિયાથી રાજકીય હલચલ તેજ બની ગઈ હતી, પરંતુ હવે તારીખો જાહેર થતાં જ માત્ર 25 દિવસના ટૂંકા સમયગાળામાં જીત મેળવવા માટે તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. કોંગ્રેસે બુધવારથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે, જ્યારે ભાજપે ગુરુવારે સવારથી ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે આ પ્રક્રિયા શરૂ કરી છે. માઇક્રો પ્લાનિંગ માટે ઓળખાતા ભાજપે ચૂંટણી જાહેર થાય તે પહેલાંથી જ તૈયારીઓ ગોઠવી રાખી હતી, પરંતુ હવે કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે મળીને બેઠકદીઠ જીત સુનિશ્ચિત કરવા માટે સતત બેઠકો અને આયોજન શરૂ કર્યું છે. ભુજ સ્થિત ભાજપના મુખ્ય મથક ‘કમલમ’ ખાતે સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ભુજ નગરપાલિકાની 44 બેઠક માટે 225થી વધુ દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા હતા. જુના અને નવા ચહેરાઓ જોવા મળ્યા હતા. લખપત, અબડાસા, માંડવી અને ભુજ વિસ્તારમાંથી દાવેદારો ફોર્મ લેવા તેમજ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. ખાસ કરીને માંડવી બેઠક માટેના દાવેદારોને બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષકો તરીકે નિયુક્ત થયેલા પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ મંત્રી સરદારભાઈ ચૌધરી અને વસુબેન ત્રિવેદી સાથે જિલ્લા સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ દાવેદારોની વાતો ધ્યાનથી સાંભળી હતી. સાંજ સુધી આ પ્રક્રિયા સતત ચાલી રહી હતી. ટિકિટ મેળવવા માટે દાવેદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકીય ઉચ્ચ હોદ્દેદારો સુધી પહોંચવા માટે લોબિંગની પ્રક્રિયા પણ તેજ બની ગઈ છે. બીજી તરફ પૂર્વ નગરસેવકો અને પંચાયત સભ્યો ફરીથી ઉમેદવારી મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતામાં જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે સેન્સ પ્રક્રિયાને પ્રથમ પગથિયું માનવામાં આવી રહ્યું છે. અંતિમ ઉમેદવાર યાદી જાહેર થવામાં હજી સમય બાકી છે, પરંતુ આ પ્રક્રિયાએ રાજકીય ગતિવિધિઓને વધુ ગતિ આપી છે. આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી, પ્રચારની રણનીતિ અને મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો વધુ તેજ બનશે તે નિશ્ચિત છે. પરિવારમાં ત્રણ વખત ચૂંટણી લડ્યા હોય તેમને ઉમેદવારી નહીંભારતીય જનતા પાર્ટી એન્ટી ઇન્કમબસી ઉપાય શોધતી હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માટે જે પરિવારે ત્રણ વખત ચૂંટણી લડી હોય તેમને ટિકિટ નહીં આપે તેવું પક્ષના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. એક અર્થ એવો પણ નીકળે કે ગત ટર્મમાં જે કામગીરી થઈ હોય તે પ્રત્યેની નારાજગીનો ભોગ ન બનવું પડે તેમજ બેઠક ચોક્કસ જીત મળે તે માટેનો એક પ્રયત્ન ગણી શકાય. તો બીજી તરફ ભાજપમાં અંદરથી છાનો અસંતોષ પણ જોવા મળ્યો કે કોંગ્રેસમાંથી આવેલા નવા કાર્યકરોને તક આપવા માટે લાલ જાજમ પાથરી દીધી છે. જે હોય તે પણ નો રિપીટ થિયરી કે પરિવારમાં ત્રણ ચૂંટણી નહીં લડી શકે, આ બંને લોકોની નારાજગીથી બચવા માટેનું કારણ ગણવામાં આવે છે ભાજપની સેન્સ પ્રક્રિયા : ભુજ પાલિકાની પ્રક્રિયા આજે પણ તે પહેલા જ ફોર્મ ઉપાડમાં અભૂતપૂર્વ ઉત્સાહ

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:36 am

કેમ્પસમાં ઘૂસણખોરો પર લાગશે બ્રેક:પ્રથમવાર કોમર્સ ફેકલ્ટી 15 હજાર વિદ્યાર્થીને સ્માર્ટ આઇકાર્ડ આપશે

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 6 વર્ષ પછી આઇકાર્ડ અપાશે. પ્રથમવાર સ્માર્ટ આઇકાર્ડ કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. 15 હજાર વિદ્યાર્થીઓને આઇકાર્ડ અપાશે. એમકોમમાં સ્માર્ટ આઇકાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં લાંબા સમયથીલ કરવામાં આવતી વિદ્યાર્થીઓની આઇકાર્ડની માંગ પૂરી કરવામાં આવી છે. કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ માટે સાદા નહિ પંરતુ સ્માર્ટ આઇકાર્ડ તૈયાર કર્યા છે. જેનું વિદ્યાર્થીઓને તબક્કાવાર વિતરણ કરવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા છે જેના પગલે આઇકાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા ના હતાય કોરોના કાળ બાદ આઇકાર્ડને ડીજીટલ સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું અને તેની પ્રિન્ટ લઇને વિદ્યાર્થીઓ લેમિનેશન કરાવતા હતા. ઘણાં કિસ્સામાં આઇકાર્ડ ન હોવાથી અસમાજીક તત્વો ઘૂસી જતા હોવાની ફરીયાદો ઉઠી હતી. ફેકલ્ટીમાં 15 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે તમામને સ્માર્ટ આઇકાર્ડ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ફરજિયાત આઇકાર્ડ પહેરીને કોલેજમાં આવવાનું રહેશે. સિકયુરિટી પણ ચેકિંગ કરશે. કોમર્સ જેવા સ્માર્ટ આઇકાર્ડ બનાવવા અન્ય ફેકલ્ટીઓને વીસીની ટકોરકોમર્સ ફેકલ્ટી દ્વારા જે પ્રકારે સ્માર્ટ આઇકાર્ડ બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ પણ સ્માર્ટ આઇકાર્ડ બનાવે તેવી ટકોર વીસીએ ડીનની બેઠકમાં કરી હતી. અગામી સમયમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ લાગે તેવા પ્રકારના સ્માર્ટ આઇકાર્ડ બનાવવામાં આવશે. આઈકાર્ડના અભાવે અસામાજિક તત્ત્વો કેમ્પસમાં બેરોકટોક પ્રવેશ કરતાં હતાં

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:30 am

સુમનદીપ વિદ્યાપીઠનો 13મો દીક્ષાંત સમારોહ:મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી સહિતના 831 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

સુમનદીપ વિદ્યાપીઠ ખાતે યુનિવર્સિટી ખાતે 13મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સુમનદીપ વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, નર્સિંગ અને એલાઈડ હેલથકરે અને ડી.એ.એસ.એલ.પી સહિત વિવિધ ફેકલ્ટીના કુલ 831 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. 33 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ ના અધ્યક્ષ ડો. યજ્ઞા શુક્લા, અતિથિ વિશેષ તરીકે સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડો. મનસુખ શાહ, પ્રમુખ ડૉ. દિક્ષિત શાહ સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ ડૉ.યજ્ઞા શુક્લાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રમાં નૈતિકતા, કરુણા અને નવીનતા અત્યંત મહત્વપૂર્ણ છે. વાઈસ ચાન્સેલર ડૉ. રાજેશ ભારાણેએ શૈક્ષણિક વિકાસ, સંશોધન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:28 am

વડોદરામાં ચૂંટણીનો રણશિંગુ ફૂંકાયું:પાલિકાના ઉમેદવાર હવે 9 લાખ સુધી ખર્ચ કરી શકશે, આચારસંહિતા લાગુ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવતાંની સાથે જ વડોદરા સહિત રાજ્યભરમાં ‘આદર્શ આચારસંહિતા’ અમલી બની છે. આ જાહેરાત સાથે જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે 5 નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 4 મામલતદાર અને 2 સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે. આચાર સંહિતાના કડક નિયમો, શું થાય અને શું નહીં? ઓળખ સ્લિપમાં ચિહ્ન રાખ્યું તો ગુનો બનશેમતદાનના દિવસે (26 એપ્રિલ) મતદારોને આપવાાં આવતી ઓળખ સ્લીપ માત્ર સફેદ કાગળ પર હોવી જોઈએ. આ ઓળખ સ્લિપ પર જે તે ઉમેદવારનું નામ, તેના પક્ષનું નામ કે ચિહ્ન દર્શાવી શકાશે નહીં. જો ઓળખ સ્લિપમાં ચિહ્ન રાખવામાં આવશે તો ગુનો બનશે. આ ઉપરાંત જે તે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં કોઇ પણ પ્રકારના મંડપ બાંધવા પર પણ પ્રતિબંધ રહેશે. આચાર સંહિતાના ભંગ બદલ શહેરના ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરી શકાશે

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:27 am

‘સ્ટિલ સ્ટોરીઝ’ નામે વૈશાલી જાડાવાલાના ફોટોનું પ્રદર્શન:માળાની હૂંફ-પ્રકૃતિના ખોળે રમતાં પારેવાં, વારસાના ભવ્ય રંગો ક્લિકમાં કેદ કરાયા

ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ખાસ ‘સ્ટિલ સ્ટોરીઝ’ નામનું સોલો પ્રદર્શન આયોજિત થયું છે, જેમાં ફોટોગ્રાફર વૈશાલી જાડાવાલાએ પોતાના અનોખા દ્રષ્ટિકોણથી જીવનના વિવિધ પાસાઓને રજૂ કર્યા છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુરુવારે સાંજે 5 વાગ્યે થયું હતું, જે 5 એપ્રિલ સુધી બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે.આ પ્રદર્શનનું આયોજન અલકાપુરી સ્થિત આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. વૈશાલી જાડાવાલાએ પોતાના કેમેરામાં મોર, વિવિધ પક્ષીઓ તેમજ માનવીય લાગણીઓ દર્શાવતા ક્ષણોને સુંદર રીતે કેદ કર્યા છે. ખાસ કરીને સૂર્યાસ્તના દ્રશ્યો, પ્રકૃતિના રંગો અને માનવીના અભિવ્યક્તિપૂર્ણ પળો પ્રદર્શનને વિશેષ બનાવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:24 am

ઉમેદવારોનો રાફડો ફાટ્યો:વાઘોડિયા, કરજણ, પાદરા, વડોદરા તાલુકામાં સેન્સમાં 550થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે જિલ્લા ભાજપે વંદે કમલમ અને કરજણ એપીએમસીમાં અંતિમ સેન્સ પ્રક્રિયા કરી હતી. વાઘોડિયા, પાદરા, કરજણ અને વડોદરા તાલુકામાં 550થી વધુએ દાવેદારી નોંધાવી હતી. મોડી રાત સુધી પ્રક્રિયા ચાલી હતી. 1 એપ્રિલના રોજ બે જૂથમાં કરાયેલી સેન્સ પ્રક્રિયામાં સાવલી, ડેસર, ડભોઈ તાલુકા અને શિનોરની બેઠકો માટે 500થી વધુએ દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે, વંદે કમલમ ખાતે મોટી સંખ્યામાં દાવેદારો પોતાના બાયોડેટા લઈને પહોચ્યાં હતાં. જ્યારે રાતે 9 વાગ્યા બાદ પણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સેન્સ લેવાની પ્રક્રિયા બાદ નિરીક્ષકોની ટીમ 3 પેનલ બનાવીને દાવેદારોના નામ પ્રદેશમાં મોકલી આપશે. ત્યારબાદ પ્રદેશ દ્વારા બેઠક મુજબ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા જ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલુ થઈ જશે. ભાસ્કર ઇનસાઇડ: વડુ પંચાયતના કોંગ્રેસના પૂર્વ સભ્યે સોશિયલ મીડિયામાં હિસાબો આપ્યાવડુ બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયારે લોકો સમક્ષ સોશિયલ મીડિયામાં લાઈવ આવીને 10 વર્ષમાં કરેલા કાર્યોના હિસાબ આપ્યાં હતાં. જિલ્લા પંચાયતની વડું બેઠક આ વખતે મહિલા અનામત છે. જેથી અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે. તેમણે જણાવ્યું કે, મારા બદલે મારા પત્ની ચૂંટણી લડશે. હિસાબ આપ્યા બાદ દરેકને કેલેન્ડર પણ આપવાનું આયોજન છે. સેન્સ પ્રક્રિયામાં રાત્રે 9 વાગ્યા સુધી 550 લોકોએ દાવેદારી કરી

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:21 am

સેન્સની પ્રક્રિયા વચ્ચે સાથી કાઉન્સિલરની પ્રતિક્રિયા:અનુભવ ઓછો હોવાથી મેયર વિવાદમાં રહ્યાં હતાંઃ રાખી શાહ

શહેરના વોર્ડ 4માંથી ભાજપમાંથી પહેલીવાર ચૂંટાઈને આવેલાં કાઉન્સિલર પિન્કીબેન સોની બીજી ટર્મમાં મેયર બન્યાં હતાં. જોકે તેઓ બિન અનુભવી હોવાથી અને કોઈ ગાઈડ-લાઈન ન મળી હોવાથી વિવાદમાં રહ્યાં હોવાનો બળાપો તેમના જ સાથી કાઉન્સિલરે ઠાલવ્યો છે. કાઉન્સિલર રાખી શાહે મેયરની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠાવતાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. જેમાં વોર્ડ 4નાં કાઉન્સિલર રાખીબેન શાહ ખોડિયારનગર ખાતે પ્રદેશથી આવેલી નિરીક્ષકોની ટીમને સેન્સ આપવા પહોંચ્યાં હતાં. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મેયર પહેલી વખતનાં કાઉન્સિલર હતાં એટલે બધું કમ્પલિટલી ટેકલ ન કરી શક્યાં. તેમને કોઈ ગાઈડ-લાઈન પણ ન મળી, જેથી તેઓ વિવાદમાં રહ્યાં છે. નિખાલસ ભાવે મેયરની સ્થિતિ અંગે કરેલી સ્પષ્ટતાને કારણે તેઓનું નિવેદન શહેરભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. જોકે તેઓએ સાથી કાઉન્સિલર તરીકે મેયર પિન્કીબેન સોનીએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે તેમ કહી બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, નો રિપીટ થીયરી આવે તો તેમના પતિ મનોજ શાહ દાવેદાર રહેશે. મહત્વનું છે કે, પાલિકાની સામાન્ય સભામાં લીધેલા નિર્ણય અથવા બજેટની બેઠક દરમિયાન વિપક્ષને સસ્પેન્ડ કરવાની બાબત હોય, મેયરની ભૂમિકા મોટેભાગે શહેરભરમાં ચર્ચાનું કારણ બની હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:19 am

ઇન્ડિયા કોમન વેલ્થ ટ્રેડ કાઉન્સિલ દ્વારા પહેલ:ઉદ્યોગો માટે મોરેશિયસ હવે ગેટવે આફ્રિકા-યુરોપનાં બજારો ખૂલશે

ભારત 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્ય તરફ વધી રહ્યું છે, ત્યારે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાતની પહેલથી ગુજરાતી ઉદ્યોગકારો માટે મોરેશિયસ ‘એન્ટ્રી પોઈન્ટ’ બનવા જઈ રહ્યું છે. મોરેશિયસ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ સાથે બેઠકમાં ફિનટેક, લોજિસ્ટિક્સ, ફાર્મા અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં સહકારના દ્વાર ખુલ્યા છે. મોરેશિયસ પાસે 10થી વધુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, જેના કારણે વિશ્વની 70% વસ્તી ધરાવતા બજારો સુધી ગુજરાતી માલ-સામાન સરળતાથી પહોંચી શકશે. ‘મોરેશિયસ ફ્રીપોર્ટ’નો ઉપયોગ કરીને ઉદ્યોગસાહસિકો માત્ર 3% કોર્પોરેટ ટેક્સ ભરીને આફ્રિકા અને યુરોપમાં નિકાસ કરી શકશે. 54 દેશો સાથે થયેલા ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટને કારણે બેવડો ટેક્સ ભરવો પડશે નહીં. ગુજરાતી ઉદ્યોગકારો માટે નવું સીમા ચિહ્ન બનશેગુજરાતી ઉદ્યોગ જગત માટે આ માત્ર સ્થાનિક નહીં પણ વૈશ્વિક બનવાની વ્યૂહરચના છે. મોરેશિયસ દ્વારા આપણે આફ્રિકાના ઝડપથી વિકસતા બજારોમાં મજબૂત સ્થાન જમાવી શકીશું. > વિરલ ચૌધરી, અધ્યક્ષ, ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાત

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:18 am

ઠગાઈ:મહિલાકર્મીના મોબાઇલ થકી લોન લીધી,1.92 લાખ ઠગી વેપારી ફરાર

સેન્ટ્રલ એસ.ટી. ડેપોની શ્રીજી હેલ્પ સેન્ટર નામની ઓફિસના સંચાલકે મહિલાકર્મીના મોબાઈલમાં પોતાની ફિંગર પ્રિન્ટ અને પાસવર્ડ સેટ કરી રૂ. 1 લાખની લોન સહિત 1.92 લાખની ઠગાઇ કરી હતી. મહિલાએ નાણાં પરત માંગતા આરોપીઓ ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. કોયલી રોડ રહેતા મહિલા મોહન મેરીયાની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર હતા. નવેમ્બર 2025માં મોહને ઉછીના રૂ.69,300 લીધા હતા. મહિલાના મોબાઈલમાં એપ ઈન્સ્ટોલ કરી પાસવર્ડ સેટ કરી રૂ.1 લાખની લોન લીધી હતી. મહિલાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમાં 33 હજારનું દેવું કર્યું હતું. શંકા થતા મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એક્સપર્ટ વ્યૂ : અન્યને બાયોમેટ્રિક્સ રજિસ્ટ્રેશન ન કરવા દો - આશિષ પટેલ, સાયબર એક્સપર્ટ

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:16 am

વેંકટેશ બાલાજી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો:વેંકટેશ બાલાજીનો અભિષેક થયો,સુંદરકાંડના પાઠ યોજાયા

રાવપુરાના વેંકટેશ બાલાજી મંદિરે હનુમાન જયંતિએ ભવ્ય ઉજવણી કરાઇ હતી. હનુમાન જયંતિ નિમિત્તે ગુરુવાર, 2 એપ્રિલના રોજ વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે ભગવાન હનુમાનજીનો વિશેષ મહા અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યાથી સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વાતાવરણ પવિત્ર બની ગયું હતું. ​મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન જુબિલી બાગ સામે આવેલ આ ઐતિહાસિક મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ શણગાર અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી દર્શનમાં કોઈ અગવડ ન પડે. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભીડ જોવા મળી હતી અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:13 am

ભાસ્કર એનાલિસિસ‎:ભાજપના ગઢ સમાન 5 વોર્ડમાં 90થી વધારે ટિકિટવાંચ્છુઓ, રસાકસીની વધુ શક્યતાવાળા વોર્ડ 15-16માં દાવેદાર ઓછા

પાલિકાની ચૂંટણી માટે ભાજપની 2 દિવસ ચાલેલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં 19 વોર્ડની 76 બેઠક માટે 1434 કાર્યકરે દાવેદારી કરી છે. ગત ચૂંટણી કરતાં આ વર્ષે 21 દાવેદાર ઓછા છે. ચોંકાવનારી બાબત એ છે કે, કોંગ્રેસની બેઠકવાળા વોર્ડ 16માં અન્ય વોર્ડ કરતાં સૌથી ઓછા 41 દાવેદાર છે. જ્યારે વોર્ડ 13માં 60 અને વોર્ડ 1માં 69 દાવેદાર છે. જોકે ભાજપમાંથી સસ્પેન્ડેડ અને કોંગ્રેસમાં જોડાયેલા કાઉન્સિલર આશિષ જોષીના વોર્ડમાં 41 દાવેદાર છે. બીજી તરફ વોર્ડ 12 સૌથી વધુ 103, વોર્ડ 17 અને વોર્ડ 18માં 101 દાવેદારો છે. વોર્ડ 15માં ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર કોંગ્રેસમાં જોડાતાં ટક્કર થશે, ઓછી દાવેદારીથી ચિંતા 19 વોર્ડમાંથી મહિલા અને પુરુષની દાવેદારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ: હવે સંકલન સમિતિ નામ મૂકશે, પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે ભાજપ : સંકલન સમિતિ નામ મૂકશે, પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે કોંગ્રેસ : ત્રણ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા આમ આદમી પાર્ટી : પહેલી યાદી જાહેર કરાઈ, બે દિવસમાં બીજી યાદી જાહેર કરાશે

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:12 am