SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

ઝોલાંછાપ ડોક્ટરોની હવે ખેર નહી:ભરઉનાળે જામનગરમાં કરા પડ્યા, કેજરીવાલે મુખ્યંત્રીને પત્ર લખ્યો, સેન્સ પ્રક્રિયામાં પહેલા દિવસે જ ધબડકો

સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ.8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન થયા. તો 151 કિલોની કેક ધરાવાઈ અને 1 લાખ બલૂનની વર્ષા કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહેલા દિવસે જ લાલીયાવાડી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરી કરી. અમદાવાદના અમરાઈવાડી વોર્ડમાં પહેલા દિવસે જ લાલીયાવાડી જોવા મળી. અહીં સૌથી વધુ દાવેદારો આવવાના હતા પણ નિરીક્ષકો જ સમયસર પહોંચ્યા નહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો.તેમનો આક્ષેપ છે કે રાજ્યમાં આપના 10 હજાર કાર્યકરોની ધરપકડનો કારસો રચાઈ રહ્યો છે. સાથે જ તેમણે સીએમ સાથે મુલાકાતનો સમય પણ માગ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીર સોમનાથમાં આપને મોટો ઝટકો ગીર સોમનાથમાં આપને મોટો ઝટકો.વેરાવળ-પાટણના 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો.આનાથી અહીના રાજકીય સમીકરણોમાં પલટો આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 કલાકથી વધુ સમયથી મૃતદેહો રસ્તા પર કડી- કલ્યાણપુરા રોડ પર જેસીબીની ટક્કરે શ્રમિક પરિવારના બે બાળકોના મોત થયા..રોડના કન્સ્ટ્રક્શન માટે આવેલા પરિવારના 2 અને 4 વર્ષના બે બાળકોના મોત થયા. 10 કલાકથી વધુ સમય સુધી બાળકોના મૃતદેહો રસ્તા પર પડી રહ્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોજગારી ન મળતા ટ્રક નીચે ઝંપલાવી આપઘાત રોજગારી ન મળતા નેપાળના યુવકે ટ્રક નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો. વડોદરામાં રહેતો જગદીશ જોષી નામનો યુવક પાંચ દિવસથી રાજકોટમાં કામધંધાની શોધમાં આવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિકોલ પોલીસ સ્ટેશનમાં લાગ્યા જય શ્રી રામના નારા અમદાવાદના નિકોલમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લઘુમતિ સમાજના યુવકે દુષ્કર્મ આચરતા બજરંગદળ એક્શનમાં. નિકોલ પોલીસ સ્ટેશનમાં 'જય શ્રી રામ'ના નારા લાગ્યા..આરોપી યુવકને પોલીસને સોંપવામાં આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 1400 કિલો પનીરના લેબ રિપોર્ટ ફેલ સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરનો ચોંકાવનારો લેબ રિપોર્ટ.. પામોલીન તેલ-ઇન્ડસ્ટ્રીયલ એસિડથી પનીર બનાવાતું હતું.. બે વર્ષથી નકલી પનીરનું નેટવર્ક સક્રિય હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૌભાંડી પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો કૌભાંડી પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોએ રોષ સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરી.પાનસેરિયાએ ખાતરી આપતા કહ્યું કે ચૂંટણીની આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવવામાં આવશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામનગર અને કચ્છમાં કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં ભરઉનાળે કરા સાથે વરસાદ પડ્યો..આ સિવાય કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા..કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:57 pm

ગોધરામાં સરકારી યોજનાના બોર્ડ-બેનરો હટાવાયા:ચૂંટણી આચારસંહિતાના અમલને પગલે પાલિકા તંત્રની કાર્યવાહી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ ગોધરા શહેરમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાના પાલન રૂપે, ગોધરા નગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસારના બોર્ડ, બેનરો અને ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ પડતાં વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ, વિવિધ ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને સરકારી સંકુલની આસપાસ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના હોર્ડિંગ્સ, પોસ્ટર્સ તેમજ રાજકીય નેતાઓના ફોટા ધરાવતા બેનરોને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જાહેર દીવાલો પર કરવામાં આવેલા રાજકીય પક્ષોના લખાણ-ચિત્રો અને સરકારી યોજનાઓના લખાણોને પણ પાલિકાની ટીમ દ્વારા કલર લગાવીને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:55 pm

વડું બેઠકના ગત ટર્મના સભ્યની સો.મીડિયા પર હિસાબ આપવાની જાહેરાત:મહિલા માટે બેઠક અનામત થતા કોંગ્રેસના અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે, પત્નીને ઉમેદવાર બનાવવા તૈયારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ત્યારે એક તરફ ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આગામી બે ત્રણ દિવસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના વડું બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય દ્વારા લોકો સમક્ષ સોશિયલ મીડિયા થકી હિસાબ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મારફતે તેઓએ આ બેઠક પરથી પોતાના પત્નીને ઉમેદવાર જાહેર કરવાની તૈયારી કરી દીધી છે.કોંગ્રેસ જાહેર કરે કે ન કરે તેઓએ જાતે જ પોતાના પત્નીના નામની જાહેરાત કરી દીધી હોય તેમ તૈયારીઓ કરી દીધી છે. વડું બેઠક પરથી આ વખતે મહિલા ઉમેદવારજિલ્લા પંચાયતની વડું બેઠક ઉપર આ વખતે મહિલા બેઠક છે જેથી આ બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે. જો કે મહિલા બેઠક હોવાથી તેઓએ પોતાના પત્નીને લડાવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પોતાના મતદારોને રીઝવવા માટેની પણ તેઓ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પક્ષ ટિકિટ આપે કે ન આપે તેઓ તો નક્કી જ છે તે રીતે તેઓએ પ્રચાર પણ શરુ કરી દીધો છે. કેલેન્ડર પણ છપાવવા આપી દેવાયાઆ અંગે અર્જુનસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, રોજેરોજ દરેક ગામવાર હિસાબ આપીશ. આ વખતે મારા બદલે મારા પત્ની ચૂંટણી લડશે. હિસાબ આપ્યા બાદ દરેકને કેલેન્ડર પણ આપવાનું આયોજન છે. હાલમાં આ કેલેન્ડર છપાવવા પણ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે ગણીગાંઠી બેઠકો હતી જે પૈકીની આ એક બેઠક હતી ત્યારે તેઓએ મોવડીમંડળની પણ જાહેરાતની પરવા કર્યા વગર જાતે જ ઉમેદવાર તરીકે સ્વઘોષિત થઇ ગયા હોય તેવો માહોલ ઉભો કરી દીધો છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:55 pm

મોરબી રાજવી પરિવારે સમાજ ભવન માટે જમીન દાન કરી:ટ્રસ્ટીઓએ મહારાજા કુમારીઓનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો

મોરબીના રાજવી પરિવારે મહારાણી વિજય કુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવનના નિર્માણ માટે બે એકર જમીનનું દાન કર્યું છે. આ જમીન દાન બદલ સમાજ ભવનના ટ્રસ્ટીઓએ રાજવી પરિવારની મહારાજા કુમારીઓનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ સન્માન સમારોહ મોરબીના ન્યુ પેલેસ ખાતે યોજાયો હતો. મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ ભવનના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. રાજવી પરિવાર દ્વારા દાન કરાયેલી આ બે એકર જમીનની વર્તમાન બજાર કિંમત આશરે ૧૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ટ્રસ્ટીઓએ આ કિંમતી જમીન સમાજ માટે અર્પણ કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સન્માન સમારોહમાં મોરબીના મહારાજા કુમારીઓ મીરાબાપા, માયાબાપા અને ઉમાબાપાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દશરથસિંહ યુ. ઝાલા, મહાવીરસિંહ એન. ઝાલા, આર.એન. ઝાલા, મહેન્દ્રસિંહ ડી. ઝાલા, રઘુવીરસિંહ કે. ઝાલા, નરવીરસિંહ વી. ઝાલા, કિશોરસિંહ વી. ઝાલા અને છત્રસિંહ જે. જાડેજા સહિતના ટ્રસ્ટીઓ તેમના ધર્મપત્નીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ ઉપરાંત જયુભા જાડેજા, મનહરસિંહ જાડેજા, વિજયભાઈ શાહ અને લક્ષ્મણભાઈ બારોટ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:53 pm

મોરબી ભાજપ સેન્સમાં પ્રથમ દિવસે 237 દાવેદારોએ દાવેદારી નોંધાવી:આજે હળવદ, મોરબી તાલુકા-જિલ્લા પંચાયત અને માળિયા પાલિકા બેઠકો માટે સેન્સ

મોરબી જિલ્લામાં આગામી ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ત્રણ દિવસીય સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા વિવિધ બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે. પ્રથમ દિવસે કુલ 124 બેઠકો માટે 237 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. આ પ્રક્રિયા ગઈકાલથી શરૂ થઈ છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની બેઠકો આવરી લેવામાં આવી રહી છે. પ્રદેશમાંથી રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા નિરીક્ષક તરીકે હાજર રહ્યા છે. આજે બીજા દિવસે મોરબી જિલ્લાના બે તાલુકાની જુદી જુદી બેઠકો માટે સેન્સ લેવાઈ રહી છે. સવારે 9:30 વાગ્યાથી હળવદ તાલુકા પંચાયત અને હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવાઈ હતી. ત્યારબાદ 11:30 વાગ્યાથી મોરબી તાલુકા પંચાયત તથા મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે અને બપોરે 2:30 વાગ્યાથી માળિયા નગરપાલિકાની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે. ગઈકાલે, સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે માળિયા, વાંકાનેર અને ટંકારા તાલુકા પંચાયતની બેઠકો તેમજ આ ત્રણેય તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. આ ઉપરાંત, વાંકાનેર અને ટંકારા નગરપાલિકાની બેઠકો પણ આવરી લેવાઈ હતી. પ્રથમ દિવસે નોંધાયેલી દાવેદારી મુજબ, માળિયા તાલુકાની જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 15 આગેવાનોએ, વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 27 આગેવાનોએ અને ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 11 આગેવાનોએ દાવેદારી કરી હતી. તાલુકા પંચાયતની બેઠકો માટે, માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 45 અને ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 19 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. તેવી જ રીતે, વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 35 અને ટંકારા નગરપાલિકાની 28 બેઠકો માટે 25 આગેવાનો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:50 pm

પંચમહાલમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ:નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક, આદર્શ આચાર સંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર

પંચમહાલ જિલ્લા કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓની ચર્ચા કરવામાં આવી. એપ્રિલ-2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જે.જે.પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન, આઈ.ટી. કામગીરી, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન અપાયું. પોલિંગ સ્ટાફ વેલ્ફેર, દિવ્યાંગ અને સ્થળાંતરિત મતદારો માટેની સુવિધાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:49 pm

હિંમતનગરમાં ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે 300થી વધુ દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા

હિંમતનગરમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહાવીરનગરથી કાંકરોલ રોડ પર આવેલા કળશ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રક્રિયા બે દિવસ ચાલશે. પ્રથમ દિવસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે 300થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ સેન્સ પ્રક્રિયા ગુરુવારે સવારથી શરૂ થઈ હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની બે ટીમો મોકલવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો, હિંમતનગર, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકા પંચાયતની કુલ 66 બેઠકો, તેમજ વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. નિરીક્ષકોની પ્રથમ ટીમમાં ગાંધીનગર શહેર પ્રમુખ આશિષ દવે, પ્રદેશના આમંત્રિત સભ્ય પ્રદીપ ખીમાણી અને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સ્મિતાબેન જોશીનો સમાવેશ થાય છે. બીજી ટીમમાં પૂર્વ ધારાસભ્ય બાબુ બોખરીયા, જામનગરના પૂર્વ જિલ્લા પ્રભારી ભાનુ મેતા અને પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડૉ. દેવાંગીબેન મેયડ હાજર રહ્યા હતા. દાવેદારો પાસેથી ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યા હતા. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 50થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત, હિંમતનગર તાલુકા પંચાયતની 28 બેઠકો, ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠકો, વિજયનગર તાલુકા પંચાયતની 18 બેઠકો અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે પણ દાવેદારોને સાંભળી તેમના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. કુલ મળીને, પ્રથમ દિવસે અંદાજે 300થી વધુ દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત જિલ્લાના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:44 pm

પાટણમાં સરકારી સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવા લાંબી લાઈન:1000થી વધુ ફોર્મનું વિતરણ, 7 એપ્રિલથી સ્વીકારાશે; 16 એપ્રિલથી સેશનનો પ્રારંભ

પાટણ શહેરના સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સ્વિમિંગ પુલ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ફોર્મ લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સ્વિમિંગ રસિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે લાંબી લાઈનો જોવા મળી હતી. અત્યાર સુધીમાં 1000થી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ગુરુવારે ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી 7 એપ્રિલ, 2026થી ભરેલા ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. સ્વિમિંગ પુલ 16 એપ્રિલ, 2026થી કાર્યરત થશે અને સ્વિમિંગ સેશનનો પ્રારંભ થશે. ફીના માળખા અંગેની વિગતો મુજબ, સામાન્ય નાગરિકો માટે ફોર્મ ફી 50 રૂપિયા અને માસિક 600 રૂપિયા લેખે 4 મહિનાના 2400 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 100 રૂપિયા આઈ કાર્ડ ફી મળી કુલ 2550 રૂપિયા ચૂકવવાના રહેશે. વિદ્યાર્થીઓ માટે એક માસની ફી 600 રૂપિયા અને 100 રૂપિયા આઈ કાર્ડ ફી મળી કુલ 700 રૂપિયા રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટેની બેચ 20 એપ્રિલ, 2026થી 19 મે, 2026 દરમિયાન ચાલશે. આ બેચનો સમય સવારે 8 થી 9 અને 9 થી 10 કલાકનો રહેશે. બહેનો માટે બપોરે 3:45 થી 4:45 વાગ્યા સુધીનો અલગ સમય નક્કી કરવામાં આવ્યો છે. સ્વિમિંગ શીખવા માટે નાગરિકોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:43 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AMTSએ અકસ્માત સર્જતા લોકોએ તોડફોડ કરી, મનપાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા ભાજપમાં ધમધમાટ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:40 pm

સુત્રાપાડાના કદવાર ગામે બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો

ગીર સોમનાથ જિલ્લામાં બોગસ ડોકટરો સામે પોલીસ દ્વારા કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુત્રાપાડા તાલુકાના કદવાર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા આ ઈસમને પોલીસે રંગેહાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે આ કાર્યવાહી કરી હતી. સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. આર.એસ. સુવાનીની ટીમ મેડિકલ અધિકારી પ્રવીતાબેન દાહીમાને સાથે રાખી કદવાર ગામે પહોંચી હતી અને શંકાસ્પદ દવાખાના પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શબ્બીર એમનભાઈ મહિડા (ઉંમર 36, રહે. પ્રભાસ પાટણ) નામનો ઈસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવાઓ આપી દર્દીઓને સારવાર આપતો ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો અને સ્થાનિક લોકો તેના પર વિશ્વાસ રાખીને સારવાર લેતા હતા. પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ 11 નંગ સામગ્રી, જેની કિંમત આશરે રૂ. 7,860 છે, તે કબ્જે કરી હતી. આરોપી વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની મર્યાદિત સુવિધાઓને કારણે લોકો ઘણીવાર બોગસ ડોકટરોના ભરોસે રહે છે. આવી સ્થિતિમાં અજાણતા લોકો પોતાના આરોગ્ય સાથે ગંભીર જોખમ લેતા હોય છે. નિષ્ણાતોના મતે, ગેરકાયદેસર રીતે આપવામાં આવતી દવાઓથી ગંભીર આડઅસરો અથવા જાનહાની પણ થઈ શકે છે. ગીર સોમનાથ પોલીસ અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની અને પરિવારની સુરક્ષા માટે હંમેશા માન્ય અને નોંધાયેલ ડોકટરોનો જ સંપર્ક કરે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:39 pm

જૂનાગઢ ગિરનાર તળેટી અને શહેરમાં હનુમાન જન્મોત્સવ:જૂનાગઢમાં હનુમાન જન્મોત્સવની ધૂમ: લંબે હનુમાનને 21,000 લાડુનો ભોગ અને 11 કિલો ચાંદીના આભૂષણો, સરખડીયા હનુમાનજીએ ધરાવાયો 56 ભોગ.

આજે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર જૂનાગઢ શહેર અને ગિરનારની તળેટી 'જય સિયારામ' અને 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠી છે. ગિરનાર તળેટીના ભવનાથ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક લંબે હનુમાન મંદિર અને જંગલ વિસ્તારમાં આવેલા મનોકામના સિદ્ધ સરખડીયા હનુમાન મંદિર સહિત શહેરના ખૂણે-ખૂણે આવેલા શિખરબદ્ધ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક દાદાનો પ્રગટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ભોગ ધરાવી ઉત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો​ભવનાથ સ્થિત લંબે હનુમાન મંદિરના મહંત શ્રી અર્જુનદાસ ખાખી બાપુએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 5:00 વાગ્યે હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ભોગ ધરાવી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દાદાનો વિશેષ અભિષેક અને 1100 ગુલાબના ફૂલો દ્વારા 'સહસ્ત્રાર્ચન' વિધિ કરવામાં આવી હતી. રાત્રે 11:30 વાગ્યે ભવ્ય મહાઆરતી બાદ ભોજન પ્રસાદનું આયોજન ​આ વર્ષે દાદાને સુરતના ભક્ત પ્રવીણભાઈ જમનાદાસ સાવલિયા (ફાઈવ સ્ટાર હોન્ડા) દ્વારા અર્પણ કરવામાં આવેલા 11 કિલો અને 162 ગ્રામ ચાંદીના નવતર આભૂષણો અને નવા ચોલા ધારણ કરાવી દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. અહીં સવારથી શરૂ થયેલું પ્રસાદ વિતરણ રાત્રે 2:00 વાગ્યા સુધી ચાલશે, જ્યારે રાત્રે 11:30 વાગ્યે ભવ્ય મહાઆરતી બાદ ઊંધિયું, મોહનથાળ અને ભજીયા સહિતના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ​24 કલાકની 'સીતારામ' ધૂન શરૂ કરવામાં આવી ગિરનારના જંગલ વિસ્તારમાં બિરાજતા મનોકામના સિદ્ધ સરખડીયા હનુમાન મંદિર ખાતે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહંત હરિદાસજી મહારાજે માહિતી આપતા જણાવ્યું કે, અહીં વર્ષોથી ચાલતા અખંડ હનુમાન ચાલીસાના પાઠની સાથે આજે વિશેષ 24 કલાકની 'સીતારામ' ધૂન શરૂ કરવામાં આવી છે. ​ભગવાનને 56 ભોગ અને 7,000 ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ 1008 લક્ષ્મી કમળ દ્વારા દાદાનું વિશેષ પૂજન અને દ્રવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં મહાપ્રસાદનો લાભ લીધો હતો. હનુમાન મંદિરોમાં પણ સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી​માત્ર ભવનાથ તળેટી જ નહીં પણ જૂનાગઢ શહેરના પંચાટડી હનુમાન મંદિર અને અક્ષર મંદિર પાસે આવેલા હનુમાન મંદિરોમાં પણ સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વિવિધ સ્થળોએ હનુમાન જયંતિ નિમિત્તે હવન-યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને મહાઆરતીના આયોજનો કરવામાં આવ્યા હતા. સમગ્ર જૂનાગઢમાં ભક્તો માટે ફરાળી તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ-સંતો અને મહંતોના સાંનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:36 pm

સંચાલકોએ ફરજિયાત હોટલ-રેસ્ટોરન્ટમાં બોર્ડ મારવા પડશે, પનીર અસલી કે એનાલોગ:નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા આરોગ્ય મંત્રીની કડક સૂચના, આ રીતે ઓળખો પનીરને

જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્ત્વના છે. રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે 'એનાલોગ', તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. શું છે આ 'એનાલોગ પનીર'? કેમ તે સ્વાસ્થ્ય માટે ખતરો છે?સામાન્ય રીતે પનીર શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ 'એનાલોગ પનીર' એ દૂધનું પનીર નથી. તે પામોલિન તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આ પનીર દેખાવમાં અસલી જેવું જ લાગે છે, પરંતુ તેમાં કુદરતી પોષક તત્વોનો અભાવ હોય છે અને હાનિકારક ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં નફો વધારવા માટે આ પ્રકારના સબ-સ્ટાન્ડર્ડ પનીરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જે લાંબા ગાળે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી શકે છે. કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશેરાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. જે હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે કે અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીધી લાલ આંખ કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ પણ વાંચો: કિડની ફેલ કરી શકે તેવું 400 કિલો નકલી પનીર દરરોજ સુરતીઓ સુધી પહોંચતું હતું; બે વર્ષથી નેટવર્ક સક્રિય હતું 1400 કિલો સબ-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીર ઝડપાતા સરકાર એક્શન મોડમાંઆ સમગ્ર વિવાદની શરૂઆત સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડાથી થઈ હતી. સુરતમાં તાજેતરમાં જ 1400 કિલો જેટલું સબ-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું. પાલિકાના અધિકારીઓએ જ્યારે આ પનીરની તપાસ કરી ત્યારે તેમાં તેલ અને પાવડરનું મિશ્રણ મળી આવ્યું હતું. આ ઘટના બાદ જ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને સમગ્ર રાજ્યમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને ડેરીઓ અને હોલસેલ સપ્લાયર્સ પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રાહકોને એનાલોગ પનીર પિરસાતું હોય તો તેની જાણકારી આપવી ફરજિયાતઆરોગ્ય વિભાગ દ્વારા આ અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ હોટલ સંચાલકો દ્વારા તેનું પાલન કરવામાં આવતું નહોતું. હવે નવી ગાઈડલાઈન મુજબ, દરેક ખાદ્ય એકમે પનીરની ગુણવત્તા જાહેર કરવી પડશે. જો કોઈ હોટલમાં પનીર ટીક્કા કે પનીર બટર મસાલા ઓર્ડર કરવામાં આવે અને તેમાં એનાલોગ પનીર હોય, તો તેની જાણકારી ગ્રાહકને અગાઉથી મળવી જોઈએ. આ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા સરપ્રાઈઝ વિઝિટ લેવામાં આવશે. કેવી રીતે ઓળખશો અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત?નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અસલી પનીર નરમ હોય છે અને તેને મસળતા તે દાણાદાર બની જાય છે. જ્યારે એનાલોગ પનીર થોડું રબર જેવું ખેંચાય તેવું હોઈ શકે છે અને તેને ગરમ કરવા પર તે તેલ છોડવા લાગે છે. વનસ્પતિ તેલમાંથી બનતું હોવાથી તેનો સ્વાદ પણ અસલી પનીર જેવો મીઠો હોતો નથી. પાલિકાના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જો તમને કોઈ હોટલમાં પનીરની ગુણવત્તા પર શંકા જાય, તો તુરંત આરોગ્ય વિભાગને ફરિયાદ કરો. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશેસરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ હોટલ, રેસ્ટોરન્ટ કે કેટરિંગ સર્વિસ બોર્ડ લગાવ્યા વગર એનાલોગ પનીર પીરસતા પકડાશે, તો તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, વારંવાર નિયમો તોડનાર એકમોને સીલ કરવાની પણ તૈયારીઓ બતાવી છે. સરકારનું લક્ષ્ય છે કે ઉત્સવો અને લગ્નગાળામાં જ્યારે પનીરનો વપરાશ ટોચ પર હોય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે. 'તમે પૈસા ચૂકવો છો તો શુદ્ધ ચીજવસ્તુઓ મેળવવાનો તમારો હક'અંતમાં, આરોગ્ય મંત્રીએ જનતાને પણ જાગૃત રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, 'તમે પૈસા ચૂકવો છો તો શુદ્ધ ચીજવસ્તુઓ મેળવવાનો તમારો હક છે.' હોટલમાં જતી વખતે અચૂક પૂછો કે પનીર કયું વાપરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ પહેલથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર મોટી બ્રેક લાગશે તેવી આશા રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે હોટલ સંચાલકો આ નવા નિયમનો કેટલા અંશે અમલ કરે છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:31 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાલમાં હનુમાન જયંતીએ તૈયાર કરાયો 7000 કિલોનો 'હનુમાન લાડુ', 5 કિલો ગેસ સિલિન્ડર મેળવવા લોકોએ લાઈન લગાવી

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 pm

વેરાવળમાં હનુમાન જ્યંતિની ધામધૂમથી ઉજવણી:શહેર ભક્તિમય બન્યું, બજરંગબલી કી જયના જયઘોષથી માર્ગો ગુંજ્યા, શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ્સ

વેરાવળ શહેરમાં હનુમાન જ્યંતિની ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. હિંદુ યુવા સંગઠનના નેજા હેઠળ વેરાવળ બસ સ્ટેન્ડ પાસે આવેલા હનુમાનજી મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ભારત માતા, શ્રીનાથજી, ભગવાન શિવ અને આદિયોગી સહિતના કલાત્મક ફ્લોટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવા ભક્તો કેસરી ધ્વજ સાથે જોડાયા હતા. જય શ્રી રામ અને બજરંગબલી કી જયના જયઘોષથી સમગ્ર શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું. ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ વ્યવસ્થાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. આમ, વેરાવળમાં હનુમાન જ્યંતિની ઉજવણી ઉલ્લાસ અને શ્રદ્ધાભેર લોકહર્ષ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:29 pm

પાટણ કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજવા પર ભાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર ભટ્ટે આચાર સંહિતાનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓનું અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણીને નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન અત્યંત જરૂરી છે. બેઠકમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવા-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. મતદારયાદીની ચકાસણી, મતદારયાદી પરથી માર્ક કોપી ચીવટપૂર્વક તૈયાર કરવાની કામગીરીનું સંકલન, દેખરેખ અને નિયંત્રણ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. ઇવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી પર વિશેષ ધ્યાન આપવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા, ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઇ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા અને ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, ચૂંટણીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવી, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી અને મીડિયા મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ અપાઈ હતી. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અંગેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અને ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી તથા તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:25 pm

વલસાડમાં ભાજપ કાર્યાલયે ટિકિટવાંછુઓની ભીડ:કોંગ્રેસ અને AAP કાર્યાલયો ખાલીખમ હોવાનો સાંસદ ધવલ પટેલનો દાવો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વાપી મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ટિકિટવાંછુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકસભાના દંડક અને ભાજપના પ્રવક્તા ધવલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે ટિકિટ માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા છે, જે પક્ષ પ્રત્યેનો ભરોસો દર્શાવે છે. લોકસભા સાંસદ ધવલ પટેલે વિપક્ષો પર પ્રહાર કરતા ઉમેર્યું હતું કે, એક તરફ ભાજપમાં લોકશાહીનો ઉત્સવ છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યાલયો સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યાં કોઈ દાવેદારો કે કાર્યકરોની ચહલપહલ દેખાતી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ ધવલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 5 એપ્રિલથી ભાજપ બૂથ સ્તરે અભિયાન શરૂ કરશે. આ ચૂંટણીમાં ભાજપ પોતાના પાંચ વર્ષના કામોનો રિપોર્ટ કાર્ડ લઈને જનતા વચ્ચે જશે અને ભવ્ય વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:24 pm

શંખેશ્વરમાં વકીલની ઓફિસમાં ચોરી અને તોડફોડ:કારના કાચ પણ તોડ્યા, આરોપીને રોકવાનો પ્રયાસ કરનાર વકીલના મિત્રને મારી નખવાની ધમકી; ગુનો નોંધાયો

શંખેશ્વરમાં એક વકીલની ઓફિસમાં ચોરી અને તોડફોડનો બનાવ બન્યો છે. મહેશકુમાર જલાજી ઠાકોર નામના શખ્સે ઓફિસમાંથી ₹10,000 રોકડની ચોરી કરી હતી અને ₹21,700નું નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, તેણે એક કારના કાચ પણ તોડ્યા હતા. વકીલ દિલીપકુમાર છોટાલાલ રાવલ તેમના પુત્રની સારવાર માટે પાટણ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈ શખ્સ તેમની ઓફિસનું શટર તોડી રહ્યો છે. પાડોશીએ મોકલેલા વીડિયોમાં આરોપી મહેશકુમાર ઠાકોર હોવાની ઓળખ થઈ હતી. આરોપી મહેશકુમાર ઠાકોરે લોખંડની ટામી વડે ઓફિસના શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેણે એલ્યુમિનિયમ સેક્શનની બારી અને દરવાજાના કાચ તોડી આશરે ₹21,700નું નુકસાન કર્યું હતું. ઓફિસમાં રાખેલી બેગમાંથી ભરણપોષણ પેટેના ₹10,000ની ચોરી પણ કરી હતી. આરોપીને રોકવાનો પ્રયાસ કરનાર વકીલના મિત્રને તેણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપીએ સર્કલ પાસે પડેલી શૈલેષકુમાર જાદવની સ્વિફ્ટ ગાડી (નંબર GJ-24-AU-0579) નો કાચ ક્રિકેટ બેટથી તોડી ₹2,500નું નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટના અંગે દિલીપકુમાર રાવલની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે આરોપી મહેશકુમાર ઠાકોર વિરુદ્ધ B.N.S.S.ની વિવિધ કલમો તેમજ જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શંખેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીવાજી બબાજી ઠાકોર આ મામલે તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:20 pm

ચૂંટણીઓ જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ:હિંમતનગરના વિશ્રામગૃહ અને સર્કિટ હાઉસમાં બોર્ડ લગાવી દેવાયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાના પાલન માટે સરકારી વિશ્રામગૃહોમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. હિંમતનગરમાં શહેરના મધ્યમાં આવેલા વિશ્રામગૃહ તેમજ હિંમતનગર-વિજાપુર-ઇડર બાયપાસ રોડ પરના નવા સર્કિટ હાઉસ ખાતે આદર્શ આચારસંહિતાના અમલ અંગેના બોર્ડ લગાવી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડમાં પેટાચૂંટણી પણ યોજાવાની છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો અને આઠ તાલુકા પંચાયતની 170 બેઠકો માટે કુલ 1210 મતદાન મથકો પર 9,17,047 મતદારો EVM દ્વારા મતદાન કરશે. નગરપાલિકાઓની વાત કરીએ તો, હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડમાં 88 મતદાન મથકો પર 72,741 મતદારો, ઇડર નગરપાલિકાના 7 વોર્ડમાં 26 મતદાન મથકો પર 25,532 મતદારો અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડમાં 19 મતદાન મથકો પર 16,087 મતદારો મતદાન કરશે. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં 4 મતદાન મથકો પર 3,616 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:17 pm

શંખેશ્વરના લોલાડામાં 35 વર્ષ જૂના જમીન વિવાદ મુદ્દે વૃદ્ધની હત્યા:હરસિધ્ધિ મંદિરે દર્શન કરવા ગયેલા વૃદ્ધ પર હુમલો, સારવારમાં મોત

શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે જમીન વિવાદના કારણે 60 વર્ષીય વૃદ્ધ ગણેશભાઈ તેજાભાઈ ખેરની હત્યા કરવામાં આવી છે. વશાભાઈ લાધુભાઈ ખેર નામના શખ્સે હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરવા ગયેલા ગણેશભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધોકા વડે વૃદ્ધના માથા અને પગના ભાગે ગંભીર ઘા માર્યાઆ ઘટના 1 એપ્રિલ 2026 ના રોજ સવારે આશરે 05:30 વાગ્યે બની હતી. ગણેશભાઈ ખેર ગામમાં આવેલા હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. સવા છ વાગ્યાના અરસામાં વશાભાઈ લાધુભાઈ ખેરે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમના પર ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે ગણેશભાઈના માથા અને પગના ભાગે ગંભીર ઘા માર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં મંદિર પાસે ઢળી પડ્યા હતા. ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું અવસાનઘટનાની જાણ થતા જ ગણેશભાઈના પુત્ર જયેશકુમાર અને અન્ય મિત્રો સ્થળ પર દોડી ગયા હતા. તેઓ ગંભીર હાલતમાં ગણેશભાઈને પ્રથમ પાટણની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જનતા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. 35 વર્ષ જૂનો જમીન વિવાદ હત્યા પાછળનું મુખ્ય કારણહત્યા પાછળનું મુખ્ય કારણ આશરે 35 વર્ષ જૂનો જમીન વિવાદ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમના દાદાની સંયુક્ત માલિકીની જમીનમાંથી દસેક વીઘા જમીન વેચાણ આપતી વખતે કોઈ ક્ષતિને કારણે સાડા સત્તર વીઘા જમીન વેચાણ થઈ ગઈ હતી. આના કારણે આરોપી વશાભાઈના ભાઈઓના ભાગની સાડા સાત વીઘા જમીન વેચાણ લેનારના નામે થઈ ગઈ હતી. જોકે, આ જમીનનો કબજો આરોપી પાસે જ હતો. જમીન પોતાના નામે થતી ન હોવાથી આરોપી અવારનવાર ફરિયાદીના પિતા ગણેશભાઈ પર દબાણ કરતો હતો. ગણેશભાઈના નામે પણ આ જમીન ન હોવાથી તેઓ આ બાબતે કંઈ કરી શકે તેમ ન હતા, જેની અદાવત રાખીને આરોપીએ આ કૃત્ય કર્યું હતું. શંખેશ્વર પોલીસે આ મામલે બી.એન.એસ કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે હથિયાર બંધીના જાહેરનામાના ભંગ બદલ પણ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:13 pm

પાલનપુરમાં વિજય હનુમાન આશ્રમે હનુમાન જયંતિ ઉજવાઈ:મારુતિ યજ્ઞ, 56 ભોગ અને પંચામૃત અભિષેક કરાયો

પાલનપુરમાં રામલીલા મેદાન પાસે આવેલા વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મારુતિ યજ્ઞ, 56 ભોગ અને પંચામૃત અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે વિજય હનુમાનજીને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આશ્રમ ખાતે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આહુતિ આપી હતી. ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે પાલનપુરના અન્ય હનુમાન મંદિરોમાં પણ ધામધૂમથી જયંતિ ઉજવાઈ હતી. વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના ચરણોમાં શીશ નમાવી, યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:09 pm

બનાસકાંઠામાં બદલી થયેલા પોલીસ અધિકારીઓનો વિદાય સમારંભ:જિલ્લા પોલીસ વડાએ મોમેન્ટો આપી સન્માનિત કર્યાં

બનાસકાંઠા જિલ્લામાં બદલી થયેલા પોલીસ અધિકારીઓ માટે પાલનપુર પોલીસ ગ્રાઉન્ડ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ અધિકારીઓને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ સમારંભમાં બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા 14 PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ને PI (પોલીસ ઇન્સ્પેક્ટર) તરીકે બઢતી સાથે નવી નિમણૂક આપવામાં આવી હતી. જ્યારે, 16 PIની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. વિદાય સમારંભ દરમિયાન બદલી થયેલા અધિકારીઓ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:04 pm

ચૂંટણીને લઈ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ:ભાવનગર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

આગામી સમયમાં યોજાનારી ભાવનગર મહાનગરપાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયત અને મહુવા, પાલીતાણા તથા વલ્લભીપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે, તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો, બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે, આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને વ્યવસ્થાપન, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈ.ટી. કામગીરી, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન અને એસએમએસ મોનીટરીંગ, પોલિંગ સ્ટાફ વેલ્ફેર, દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓ, સ્થળાંતરિત મતદારો માટેની વ્યવસ્થા, કસ્ટમાઈઝ્ડ કિટ, તાલીમ આયોજન, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ/વિડિયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું., બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ‌અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:59 pm

સુરતમાં AI ટેક્નોલોજી પર કાર્યક્રમ:મીત દેસાઈએ તેના ઉપયોગો અને ભવિષ્ય સમજાવ્યા

સુરત ફોટોગ્રાફિક વેલફેર એસોસિએશન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષય પર એક માહિતીપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત AI વક્તા મીત દેસાઈએ ઉપસ્થિત સભ્યોને આધુનિક ટેક્નોલોજી અને AIના વિવિધ ઉપયોગો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેક્સ મીડિયા સ્ટુડિયોના નયન ચોકસીએ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, મીત દેસાઈએ AIના વર્તમાન અને ભવિષ્યના ઉપયોગો વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી. તેમણે ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું, વિડિયો અને ફોટો એડિટિંગમાં AIનો ઉપયોગ કેવી રીતે કરવો અને કાર્યક્ષમતા કેવી રીતે વધારવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી વર્ષોમાં આવી શકે તેવી નવી ટેકનોલોજીની ઝલક પણ તેમણે રજૂ કરી હતી. આ પ્રસંગે એસોસિએશનના સ્થાપક પ્રમુખ ભવનભાઈ, પ્રમુખ રિતેશભાઈ અને ઉપપ્રમુખ પરેશભાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના વિવિધ વિસ્તારોના એસોસિએશનો તેમજ બારડોલી, નવસારી અને વ્યારા જેવા આસપાસના વિસ્તારોના સભ્યોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. સુરત વેલફેર એસોસિએશનની સમગ્ર ટીમ અને કમિટી સભ્યોના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. એસોસિએશન દ્વારા સભ્યો અને કમિટી સભ્યોનો તેમના સહયોગ અને સમર્પણ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:56 pm

શામળાજીમાં ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી:શામળિયાને કેસરિયા વાઘા અને સોનાના આભૂષણોથી શણગાર કરાયો

શામળાજી: યાત્રાધામ શામળાજીમાં ચૈત્રી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને અનોખો અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. તેમને કેસરિયા વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા અને સોનાના આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. ભક્તોએ દૂર દૂરથી આવીને શામળિયાના આ મનોહર સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર પૂર્ણિમાએ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે, ત્યારે ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:52 pm

નિકોલ પોલીસ સ્ટેશનમાં લાગ્યા 'જય શ્રી રામ'ના નારા:લઘુમતી ધર્મના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મના મામલે બજરંગદળ એક્શનમાં, આરોપી યુવકને પોલીસને સોંપ્યો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરવાના આરોપમાં અન્ય ધર્મના યુવક વકીલ ખાન પઠાણ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે બજરંગ દળના કાર્યકર્તાઓએ આરોપીને પકડીને નિકોલ પોલીસ સ્ટેશન લાવ્યા હતા, જે બાદ આરોપીએ પોતાનું અપહરણ કરી મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈને બજરંગ દળના 100થી વધુ કાર્યકર્તાઓએ નિકોલ પોલીસ સ્ટેશન બહાર જય શ્રીરામના નારા લગાવ્યા હતા અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પોલીસે આરોપી વકીલ ખાન પઠાણની ધરપકડ કરી છે, જ્યારે અપહરણ અને મારપીટના મામલે બજરંગ દળના 4-5 કાર્યકર્તાઓ સામે પણ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આરોપીએ સગીરાના ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી I ડિવિઝન ACP કુણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, નિકોલ વિસ્તારમાં સગીરા અને વકીલ ખાન પઠાણ નામનો યુવક બાજુમાં રહેતા હતા. યુવક બાજુમાં-નાના બાળકને લઈને રમાડવા જતો હતો. જેથી, સગીરના સાથે સંપર્કમાં આવ્યો હતો ત્યારબાદ મોબાઈલ ફોન નંબરની આપ-લે કરી હતી. બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા ત્યારબાદ આરોપી વકીલખાન પઠાણે તેના ફોટા મંગાવી અને પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. વાયરલ કરવાની ધમકી આપી અને બળ બનાવવા તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીની પોક્સો હેઠળ ધરપકડ કરવામાં આવી સગીરાની માતાએ વકીલ ખાન પઠાણને ઠપકો આપ્યો તો જેને લઈને તેણે માથાકૂટ કરી હતી. ત્યારબાદ સગીરાની માતાએ અન્ય એક વ્યક્તિને જાણ કરી હતી અને ત્યારબાદ કેટલાક લોકોને જાણ થતા વકીલ ખાનના મિત્ર ફરહાનને તેના ઘરેથી લઈ ગયા હતા અને ઉસ્માનપુરા ઓફિસ ખાતે લઈ ગયા ત્યાં તેને માર મારવામાં અને અપહરણ વગેરે બાબતે પણ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આરોપીની પોક્સો અને બળાત્કાર કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મારી દીકરીનો ખરાબ ફોટો વોટ્સએપમાં મોકલ્યો મળતી માહિતી મુજબ શહેરના નિકોલ વિસ્તારમાં 15 વર્ષથી સગીરા તેના પરિવાર સાથે રહે છે તેના પાડોશમાં એક અન્ય ધર્મનો યુવક રહેતો હતો. થોડા દિવસ પહેલાં યુવક દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ સગીરાની માતા દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી કે, મારી દીકરીનો ખરાબ ફોટો વોટ્સએપમાં મોકલ્યો હતો અને સામેવાળો માથાભારે હોવાથી ગમે ત્યારે તેમની દીકરીની બદનામી કરી શકે તેમ છે. જેથી, આ મામલે કાર્યવાહી કરવા અરજી કરી હતી પરંતુ, નિકોલ પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આરોપીએ સગીરાની માતા અને બજરંગદળના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીબજરંગ દળના કાર્યકર્તાઓને આ બાબતે જાણ થતા જ કાર્યકર્તાઓ દ્વારા આરોપી યુવકને પકડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, નિકોલ પોલીસ દ્વારા આરોપી યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, પાડોશમાં રહેતા મહિલા અમારા ઘરે આવ્યા હતા અને તું મારી દીકરી સાથે કેમ સંબંધ ધરાવે છે એવો વહેમ રાખી ગાળો બોલી મારામારી કરી હતી. ત્યારબાદ આજુબાજુના લોકો આવી ગયા હતા જેથી, તેઓ જતા રહ્યા હતા આ યુવકને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે, તારા એક મિત્રને ઉસ્માનપુરા ખાતે ઓફિસે લઈ જઈએ છીએ તો ત્યાં આવી જા. જેથી, યુવક ઉસ્માનપુરા ચાર રસ્તા ખાતે આવેલી ઓફિસમાં ગયો હતો જ્યાં સગીરાની માતા અને અન્ય ત્રણથી ચાર શખસો હાજર હતા. તેના નામ તે જાણતો નથી અને ઓફિસમાં પડેલી લાકડી લઈને તેને માર મારવામાં આવ્યો હતો. હાથમાં કડા વડે માથા અને પાછળના ભાગે માર માર્યો હતો. મારામારી કર્યા બાદ ગાડીમાં બેસાડી ફરીથી નિકોલ ખાતે લઈને આવ્યા હતા. બજરંગ દળનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું અને 'જય શ્રી રામ'ના નારા લાગ્યાબજરંગ દળના કાર્યકર્તાઓ તેને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પકડીને લાવ્યા હતા અને નિકોલ પોલીસને સોપ્યો હતો. નિકોલ પોલીસ દ્વારા બજરંગ દળના કાર્યકરો સામે ફરિયાદ નોંધી તેમને કાર્યવાહી કરવાનું કહેતા મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સમગ્ર મામલે નિકોલ પોલીસ દ્વારા આરોપી યુવક સામે પોકસો એક્ટ હેઠળ અને આરોપી યુવક દ્વારા બજરંગદળના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા 4-5 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:52 pm

સુરતના વિદ્યાર્થીઓ બનશે ફ્યુચર-રેડી:ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ફ્રી AI ટ્રેનિંગ અને 52થી વધુ કોર્સ, NCIT દ્વારા ફ્રી AI ટ્રેનિંગની જાહેરાત

સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન લાવવાના હેતુથી NCIT ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, તે વાતને સમજીને NCIT એ 'સ્કિલ-બેઝ્ડ લર્નિંગ વિથ ડિગ્રી'નો અનોખો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. આ પહેલ હેઠળ ખાસ કરીને ધોરણ 12 પાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક જનરેટિવ AI (Gen AI) કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ડિગ્રી અને સ્કિલનો અદભૂત સમન્વય NCIT ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક મુકુંદ લુણાગરિયાના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં AI અને ડિજિટલ સ્કિલ્સ હવે વિકલ્પ નથી પણ અનિવાર્યતા બની ગઈ છે. વિદ્યાર્થીઓ 3 વર્ષના ગ્રેજ્યુએશન ગાળા દરમિયાન માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવવાને બદલે સંપૂર્ણ રીતે 'જોબ-રેડી' બને તેવો સંસ્થાનો મુખ્ય લક્ષ્યાંક છે. આ ડ્યુઅલ લર્નિંગ સિસ્ટમમાં ઓનલાઇન ડિગ્રીની સાથે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવે છે. 52થી વધુ પ્રેક્ટિકલ કોર્સની સુવિધા NCIT ખાતે વિદ્યાર્થીઓને તેમની રુચિ મુજબના વિવિધ ક્ષેત્રોમાં નિપુણ બનાવવામાં આવે છે. અહીં ઉપલબ્ધ સુવિધાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: વિવિધ વિષયો: AI, ડિઝાઇનિંગ, કોડિંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જ્વેલરી ડિઝાઇન. પ્રેક્ટિકલ એપ્રોચ: કુલ 52થી વધુ પ્રેક્ટિકલ સ્કિલ કોર્સેસ ઉપલબ્ધ છે. એક્સપર્ટ ગાઇડન્સ: ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા સીધું માર્ગદર્શન અને રિયલ-ટાઇમ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક. ભવિષ્યની તૈયારી આજથી જ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના વિદ્યાર્થીઓને ગ્લોબલ માર્કેટ માટે તૈયાર કરવાનો છે. ધોરણ 12 પછીના વેકેશન અને અભ્યાસના સમયગાળાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી વિદ્યાર્થીઓ ભવિષ્યની ટેકનોલોજી શીખી શકે તે માટે આ ફ્રી AI કોર્સ એક સોનેરી તક સમાન છે. NCITનો આ પ્રયાસ સુરતના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ લઈ જશે અને યુવાનોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:49 pm

સાવલીના વિદ્યાર્થીઓ હવે બનશે 'લાઇફ-રેડી':શેફલર ઇન્ડિયા અને ભારતકેર્સના સહયોગથી 5 શાળાઓમાં શરૂ થયો આધુનિક IBT પ્રોજેક્ટ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિનો પ્રારંભ થયો છે. હવે અહીંના વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોના પાનાઓ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ 'લર્નિંગ બાય ડુઈંગ' એટલે કે 'કરો અને શીખો'ના સિદ્ધાંત પર પ્રાયોગિક જ્ઞાન મેળવશે. સાવલી તાલુકામાં ‘ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક ટેકનોલોજી’ (IBT) પ્રોજેક્ટનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે સજ્જ કરવાનો છે. CSR પહેલ હેઠળ આર્થિક અને ટેકનિકલ સહયોગ આ પ્રોજેક્ટ શેફલર ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત આર્થિક સહયોગથી શરૂ કરાયો છે. ભારતકેર્સ સંસ્થા આ પ્રોજેક્ટનું અમલીકરણ કરી રહી છે, જ્યારે વિજ્ઞાન આશ્રમ નોલેજ પાર્ટનર તરીકે કાર્યરત છે. વર્ષ 2025થી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં અપાશે તાલીમ વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવા માટે તેમને ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચીને તાલીમ આપવામાં આવશે: હ્યુમન સર્વિસીસ: સામાજિક અને માનવીય સેવાઓનું જ્ઞાન. લાઈફ ફોર્મ્સ: જૈવિક અને પર્યાવરણીય સમજ. મશીન એન્ડ મટિરિયલ્સ: તકનીકી અને યંત્ર સામગ્રીનો પ્રાયોગિક અનુભવ. પાંચ શાળાઓની થઈ પસંદગી સાવલી તાલુકાની નીચે મુજબની 5 શાળાઓમાં આ પ્રોજેક્ટનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે: ગુરુ જગાજી મહારાજ વિદ્યામંદિર, સોખડા બુદ્ધદેવ વિદ્યાલય લોક વિદ્યાલય, લામડાપુરા જી.આર. ભગત સ્કૂલ, ભાદરવા સાવલી હાઇસ્કૂલ, સાવલી નિષ્ણાતોના મતે: 'જોબ સીકર' નહીં 'જોબ ક્રિએટર' બનશે યુવાનો આ પ્રસંગે જી.જે.એમ. વિદ્યામંદિરના આચાર્ય સંજય આર. પટેલે જણાવ્યું કે ગ્રામીણ શાળાઓ માટે આ ગૌરવની ક્ષણ છે. શેફલર ઇન્ડિયાના પ્લાન્ટ હેડ રાજેશ મંડને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોજેક્ટથી યુવાનો નોકરી શોધનારા નહીં પણ 'જોબ ક્રિએટર્સ' બનશે. ભારતકેર્સના સીમા જે. અને રાજવી પરમારે ઉમેર્યું કે આ તાલીમ વિદ્યાર્થીઓને ખરા અર્થમાં 'લાઇફ-રેડી' બનાવશે. કિચન ગાર્ડનથી લઈને ટેકનિકલ પ્રોડક્ટ્સ બનાવવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારશે તેમ વિજ્ઞાન આશ્રમના રણજીત શાનબાગે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:46 pm

ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોની બીજા દિવસે ભીડ:મનપાની ચૂંટણી માટે વધુ 8 વોર્ડની આજે સેન્સ પ્રકિયા, દાવેદારી કરતા વર્તમાન કોર્પોરેટરો સામે જ વિરોધ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 1 એપ્રિલથી સેન્સ પ્રક્રિયા ધરવામાં આવી છે.આ પ્રક્રિયાના બીજા દિવસે એટલે કે આજે (2 એપ્રિલ) પણ દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહ્યી છે. પ્રથમ દિવસે 750થી વધુ દાવેદારો બાદ આજે વધુ 8 વોર્ડની સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પણ અનેક વોર્ડમાં દાવેદારોની સંખ્યા ત્રણ ડિજીટમાં જોવા મળી હતી. વર્તમાન કોર્પોરેટરોએ જમાવટ કરીસેન્સ પ્રક્રિયામાં અનેક વોર્ડમાં વર્તમાન કોર્પોરેટરોનો પણ જમાવડો જોવા મળ્યો હતો.ગત ટર્મના અંતિમ અઢી વર્ષના પદાધિકારીઓ દ્વારા પણ પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શાસક પક્ષના નેતા મનોજ પટેલ સહિતના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.ત્યારે વર્તમાન કોર્પોરેટરો સાથે યુવા આગેવાનો દ્વારા પણ એટલા જ જુસ્સા સાથે પક્ષ જો તેઓ ઉપર વિશ્વાસ મુકશે તો વિકાસની ગતિને આગળ ધપાવવાની તૈયારીઓ બતાવી હતી. વર્તમાન મેયરે ઉમેદવારી ન નોંધાવીગત ટર્મના અંતિમ અઢી વર્ષમાં મેયર તરીકે વોર્ડ 4 ના પિંકી સોની હતા.વર્તુળો તરફથી મળતી માહિતી અનુસાર રહેલા પિંકી સોનીએ પોતાની ઉમેદવારી નોંધાવી નથી. તેઓ હાલમાં સેન્સ પ્રક્રિયામાં અન્ય જિલ્લામાં નિરીક્ષક તરીકે ગયા છે. પરંતુ તેઓએ પોતાની ઉમેદવારી નહિ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ચેરમેન દ્વારા અગાઉથી જ પોતાનું ફોર્મ કાર્યાલય ખાતે રજૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કેટલાય વોર્ડમાં વર્તમાન કોર્પોરેટરો સામે રોષસેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના જ કાર્યકરો અને આગેવાનો સેન્સ આપવા પહોંચ્યા હતા. જો કે તે પૈકી કેટલાક વર્તમાન કોર્પોરેટરો સામે વિરોધ જોવા મળ્યો હતો. કેટલાકમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો હતો કે આ વખતે તમામે તમામ કોર્પોરેટરો નવા આવે તો સારું.કારણ કે ગત ટર્મમાં આક્ષેપબાજી સિવાય કઈ જ થયું નથી.ત્યારે આ વખતે ભાજપ નો રિપીટ થિયરી કડક રીતે અપનાવી તમામને ઘેર બેસાડી દે તો સારું તેવી પણ ટિપ્પણીઓ જોવા મળી હતી. જિલ્લા કાર્યાલય ખાતે પણ સેન્સ માટે ટોળુંમહાનગરપાલિકાની સાથે સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને જિલ્લાની અન્ય નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજવાની છે. ત્યારે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ કાર્યકરોનું ટોળું જોવા મળ્યું હતું. નિરીક્ષકો સમક્ષ સેન્સ આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા. એક તબક્કે તો અવ્યવસ્થા સર્જાય તેવો માહોલ હતો જો કે ત્યાર બાદ સ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી અને કાર્યકરોને ધીરજપૂર્વક પ્રક્રિયામાં ભાગ લેવા જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:44 pm

ગાંધીનગરના ડભોડામાં શ્રદ્ધાનું ઘોડાપૂર:દાદાને 2500 તેલના ડબ્બાનો મહાઅભિષેક કરાયો, 151 કિલોની કેક કાપી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

ગાંધીનગર નજીક આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ડભોડા ગામે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા ડભોડિયા હનુમાનજીના સાનિધ્યમાં આજ રોજ ચૈત્રી પૂનમના પવિત્ર પર્વે ભક્તિ, શક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ભવ્ય મહોત્ત્સવની ઉજવણી કરવામાં રહી છે જે મોડી રાત સુધી ચાલશે. આજે વહેલી સવારથી જ 'જય શ્રી રામ અને બજરંગબલી કી જય'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. હનુમાનજીના પ્રાગટ્ય સમયે 101 દીવાની ભવ્ય મહાઆરતીઆજે હનુમાન જન્મોત્સવ ઉજવણીના પ્રારંભે સવારે હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ દાદાને કરવામાં આવેલો 2500 જેટલા તેલના ડબ્બાનો મહાઅભિષેક છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જ્યાં ભક્તો પોતાની બાધા-આખડી પૂર્ણ કરવા તેલ અર્પણ કરે છે. બપોરે 12 કલાકે હનુમાનજીના પ્રાગટ્ય સમયે 101 દીવાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેનો લાહવો લઈ ભક્તો ધન્ય બન્યા હતા. બપોરથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશેઆ પ્રસંગે 151 કિલોની વિશાળ કેક કાપીને જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે મનોરંજન અને ભક્તિના સંગમ સાથે બપોરથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશે. દિવસભરના ઉત્સવ બાદ રાત્રે 8.30 કલાકે આકાશમાં નયનરમ્ય ફાયર શો એટલે કે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થાબીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે શુદ્ધ ઘીના બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મંદિરના રસોડામાં 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1,111 કિલોગ્રામ શુદ્ધ ઘીની સુખડી તૈયાર કરવામાં આવી છે. આજે અંદાજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું રાત્રે 12 વાગ્યા સુધી વિતરણ સતત ચાલુ રાખવામાં આવ્યું છે. મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરાશેઆ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડભોડામાં પ્રવેશતા દરેક રસ્તા પર પાર્કિંગની અલાયદી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે. ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી મંદિર સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા મફત રિક્ષા સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શકે તેમ નથી તેમના માટે મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેથી વિદેશમાં વસતા ભક્તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉત્સવનો લાભ લઈ શકે છે. આજે મંદિર પરિસરને ફૂલો અને રંગબેરંગી રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડભોડિયા હનુમાનજી મંદિરનો ઇતિહાસ અત્યંત પ્રાચીન છે. લોકવાયકા મુજબ, વર્ષો પહેલા અહીં ગૌચરની જમીન હતી જ્યાં ગાયો ચરવા આવતી હતી. એક ગાય દરરોજ એક ચોક્કસ સ્થાને જઈને પોતાના દૂધની ધાર કરતી હતી. જ્યારે તે સ્થળે ખોદકામ કરવામાં આવ્યું, ત્યારે હનુમાનજીની અત્યંત પ્રભાવશાળી સ્વયંભૂ મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ મળ્યા બાદ અહીં નાનું મંદિર બન્યું જે આજે ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં પરિવર્તિત થયું છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:28 pm

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરને ચાલુ ફરજ પર હાર્ટ:હિતેશ રાવતની તબિયત લથડતા સિવિલમાં ખસેડાયા; સ્થિતિ ગંભીર જણાતા તબીબોની ટીમ સતત દેખરેખ હેઠળ

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરજ બજાવતા જોઈન્ટ ડાયરેક્ટર હિતેશ રાવતને અચાનક હાર્ટ એટેક આવતા હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, તેઓ ચાલુ ફરજ દરમિયાન અચાનક અસ્વસ્થ થઈ ગયા હતા, જેના પગલે તાત્કાલિક તબીબી સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તબીબોની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે. આ ઘટનાને લઈને વિભાગમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને અધિકારીઓ તથા કર્મચારીઓ તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:21 pm

ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારણે બ્લાસ્ટ થતાં 3 ઈજાગ્રસ્ત:ડિંડોલીમાં ગેસ લીકેજ બાદ લાઈટની સ્વીચ પાડતા જ પ્રચંડ વિસ્ફોટ સર્જાયો, બે માસૂમ બાળકો અને માતા ગંભીર રીતે દાઝ્યા

સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં બુધવારે સાંજે રહેણાંક વિસ્તારમાં નફાખોરી માટે ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારોબારના કારણે ત્રણ વર્ષના બાળક સહિત 3 ઈજાગ્રસ્ત થયા હતા. રૂમની અંદર ગેસ રિફિલિંગ દરમિયાન થયેલા લીકેજને કારણે અચાનક 'ફ્લેશ ફાયર' થતા બે માસૂમ બાળકો અને તેમની માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રૂમમાંથી આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ફાળ પડીનવાગામ ડિંડોલીની નીલકંઠ સોસાયટીમાં બુધવારે સાંજે આશરે પોણા આઠ વાગ્યાના સુમારે અચાનક એક રૂમમાંથી આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ફાળ પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય આશાદેવી વિક્રમ કાપર, તેમની 7 વર્ષની પુત્રી માધુરી અને 3 વર્ષનો પુત્ર દિવ્યાંશ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલેન્સ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલ માતા અને બંને બાળકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. રહેણાંક રૂમમાં ચોરી-છુપીથી ગેસ રિફિલિંગનો ધંધો ચાલતો હતોઆ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો પરંતુ બેદરકારીનું પરિણામ હતું. પવન ગિરધર ખટીક નામનો શખ્સ રહેણાંક વિસ્તારની રૂમમાં ચોરી-છુપીથી ગેસ રિફિલિંગનો ધંધો કરતો હતો. પોલીસના પ્રાથમિક નિવેદનમાં પવને જણાવ્યું હતું કે તે ગેસનો ચૂલો રીપેરીંગ કરવા ગયો હતો, પરંતુ સ્થાનિકો અને ભોગ બનનારના પરિવારના આક્ષેપો કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે. આ અકસ્માતમાં રિફિલિંગ કરનાર પવન પોતે પણ દાઝી ગયો હતો, જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લાઈટની સ્વીચ ચાલુ કરતા જ પરિવાર આગની લપેટમાં આવી ગયોપીડિત પરિવારના મોભી વિક્રમ કાપર, જેઓ જરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે પવન ખટીક અગાઉ દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હતો, પરંતુ તંત્રની કડકાઈને કારણે તેણે બાજુની રૂમમાં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. ગઈકાલે જ્યારે ગેસની તીવ્ર વાસ આવતા પુત્રી માધુરી પવનને જાણ કરવા ગઈ અને પવને રૂમમાં જઈ લાઈટની સ્વીચ પાડી કે તુરંત જ ભભૂકેલી આગે બહાર બેઠેલા પરિવારને લપેટમાં લઈ લીધો હતો. 'અમારા નાના બાળકો છે, ગેસની વાસ આવે છે, આ બંધ કરી દેજો' પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયાથી આ જોખમી ખેલ ચાલી રહ્યો હતો. આશાદેવીએ બેથી ત્રણ વખત પવનને સમજાવ્યો હતો કે, 'અમારા નાના બાળકો છે, ગેસની વાસ આવે છે, આ બંધ કરી દેજો.' પરંતુ લાલચમાં અંધ બનેલા પવને આ ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી. જો પવને સમયસર વાત માની હોત, તો આજે આ નિર્દોષ બાળકો હોસ્પિટલના બિછાને ન હોત. સદનસીબે પરિવારના અન્ય બે બાળકો ટ્યુશન ગયા હોવાથી આ હોનારતમાંથી બચી ગયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની દિશમાં ચક્રો ગતિમાન કર્યાહાલમાં આશાદેવી અને તેમના બંને બાળકો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકોની હાલત નાજુક છે. બીજી તરફ, ડિંડોલી પોલીસ સ્ટેશનના PSI બી.એ. ગોહિલે આ મામલે તપાસ તેજ કરી છે. પોલીસે પવન ખટીક વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને બેદરકારીના ગુના હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:04 pm

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં જિલ્લા ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા:જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતોની 210 અને નગરપાલિકાઓની 96 ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, કાર્યકર્તાઓ સજ્જ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી રહ્યાં છે, જેમાં જિલ્લા પંચાયતની 40 બેઠકો, 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો અને 3 નગરપાલિકાની 96 બેઠકો સંદર્ભે આ ચૂંટણી માટે લડવા માટે બે દિવસ ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય તથા પાલીતાણા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે, બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતા, આ ચૂંટણીઓ માટે ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો રહ્યાં છે, ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 તથા 10 તાલુકા પંચાયતોની 210 અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે બે દિવસ દરમિયાન ઈચ્છુક કાર્યકર્તાઓએ નિરીક્ષકો પાસે પોતાના પરિચય સાથે દાવેદારી રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 3:48 pm

સેક્ટર-16માં બેંક ઓફ બરોડામાં સાપ નીકળતા ફફડાટ:ગ્રાહકો અને સ્ટાફના બેંકમાં સાપ દેખાતા સ્ટાફના હોંશ ઉડી ગયા; ‘સર્પમિત્ર’એ ધામણનું રેસ્ક્યૂ કર્યું

ગાંધીનગરના સેક્ટર-16 વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં આજે સવારના સમયે બેંક ખુલતાની સાથે જ એક સાપ નજરે પડ્યો હતો. બેન્કનું કામકાજ શરૂ થવાના સમયે જ સાપ દેખાતા ગ્રાહકો અને બેંક સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો ફફડાટના માર્યા બેન્કની બહાર દોડી આવ્યા હતા. જોકે શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યૂ કરવામાં આવતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. બેંકમાં સાપ દેખાતા સ્ટાફના હોંશ ઉડી ગયાસામાન્ય દિવસની જેમ આજે સવારે અચાનક એક લાંબો સાપ દેખાતા જ સ્ટાફના હોંશ ઉડી ગયા હતા. બેંક જેવી ભીડભાડ વાળી જગ્યાએ સાપ હોવાની વાત વાયુવેગે ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બેંકના સ્ટાફ દ્વારા સતર્કતા દાખવી તાત્કાલિક જાણીતા સર્પ મિત્ર અને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય શર્માનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાપને સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં છોડી મુક્યોવિજયભાઈ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ભારે જહેમત પછી કુશળતાપૂર્વક સાપને પકડી પાડી તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. આ અંગે વિજયભાઈ શર્માએ જણાવ્યું કે, બેંકમાંથી પકડાયેલો આ ધામણ પ્રજાતિનો સાપ છે જે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. સાપ જોઈને ડરવાને બદલે શાંતિ જાળવવી અને નિષ્ણાતોને જાણ કરવી હિતાવહ છે. નિયમો અનુસાર સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 3:30 pm

સૌરાષ્ટ્રમાં જીવિત સમાધિ લેવાનો 'ચમત્કાર' ફ્લોપ:અમરેલીના ઢોલરવા ગામે વિજ્ઞાન જાથા અને પોલીસે અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો

અમરેલી જિલ્લાના ઢોલરવા ગામે શ્રદ્ધાના નામે ચાલતા એક મોટા તૂતનો પર્દાફાશ થયો છે. એક વૃદ્ધ દ્વારા જીવિત સમાધિ લેવાની કરવામાં આવેલી જાહેરાતને પગલે ફેલાયેલી અંધશ્રદ્ધાને ભારત જન વિજ્ઞાન જાથા અને સ્થાનિક પોલીસની ટીમે સમયસર દખલગીરી કરીને અટકાવી દીધી છે. શું હતી સમગ્ર ઘટના?ઢોલરવા ગામના રહેવાસી અરજણભાઈ રુડાભાઈ ખુમાણે એક મહિના અગાઉ એવી જાહેરાત કરી હતી કે, તેઓ 1 એપ્રિલ ગુરુવારના રોજ સવારે 9 થી 11 દરમિયાન સ્વેચ્છાએ પોતાના પ્રાણ ત્યાગ કરશે. તેમણે દાવો કર્યો હતો કે તેમના શરીરમાંથી આપોઆપ જીવ વયો જશે અને ત્યારબાદ તેમને ધાર્મિક વિધિ મુજબ જીવિત સમાધિ આપવામાં આવે. આ જાહેરાતને પગલે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાળુઓ તેમના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા હતા. વિજ્ઞાન જાથા અને પોલીસની કડક કાર્યવાહીઆ ઘટનાની જાણ થતા જ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા અને તેમની ટીમ સક્રિય થઈ હતી. જાથાએ આ મામલે પોલીસ અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી કે, આવી ઘટનાઓ પાછળ ઘણીવાર મોટું ષડયંત્ર હોય છે. જ્યારે જાહેરાત મુજબ કુદરતી મૃત્યુ થતું નથી, ત્યારે ઘણીવાર ઝેરી પદાર્થ આપી વ્યક્તિને મોતને ઘાટ ઉતારી તેને 'સમાધિ'નું રૂપ આપવામાં આવે છે અને પછી ત્યાં ડેરી બનાવી રૂપિયા કમાવવાનું ષડયંત્ર રચાય છે. ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા અને તેમની ટીમના સભ્યો પોલીસ સાથે ઢોલરવા ગામ પહોંચ્યા હતા. કાયદાકીય ગુંચવણ અને સમજાવટને અંતે વૃદ્ધે સ્વીકાર્યું હતું કે આવું કશું થવાનું નથી. તેમણે પોતાની ભૂલ સ્વીકારી સૌની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહીં કરે તેવું લેખિતમાં લખાણ આપ્યું હતું. લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસઆ ઘટના બાદ વિજ્ઞાન જાથાની ટીમે ઢોલરવા ગામની મુલાકાત લીધી હતી. ટીમમાં રાજુભાઈ યાદવ, રોમિતભાઈ રાજદેવ, ભાનુબેન શેઠીયા સહિતના સભ્યો જોડાયા હતા. તેમણે ગ્રામજનોને સમજાવ્યું હતું કે જીવિત સમાધિ લેવી એ કાયદાકીય રીતે ગુનો છે. સ્વૈચ્છિક મૃત્યુના નામે થતા આવા દાવાઓ તદ્દન પોકળ અને વૈજ્ઞાનિક રીતે અશક્ય છે. આવી અંધશ્રદ્ધા ભાવિ પેઢીને હતાશા તરફ દોરી જાય છે. તંત્ર અને વિજ્ઞાન જાથાની સતર્કતાને કારણે એક અઘટિત ઘટના બનતા અટકી ગઈ છે અને અંધશ્રદ્ધા ફેલાવનારા તત્વોને લપડાક મળી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 3:29 pm

બ્રિજ નિર્માણથી 31 જંક્શનો પર થતા ટ્રાફિક જામનો આવશે અંત:દેસાઈનગરથી વરતેજ સુધીના 4.75 કિ.મી. લાંબા બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી - મંત્રી જીતુ વાઘાણી

રૂ.533 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ 4 લેન બ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બનશે ભાવનગર શહેરના વિકાસની ગતિને વેગ આપવા અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નોને મોટી સફળતા મળી છે મંત્રીની વ્યક્તિગત રજૂઆત અને જનહિતના કાર્યની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગરના ગૌરવપથ પર દેસાઈનગરથી વરતેજ સુધીના આશરે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતા વિશાળ ફ્લાઈઓવર બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, દેસાઈનગરથી વરતેજ સુધીનો આ 4 લેન બ્રિજ આશરે રૂ.533 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેમાં નારી ચોકડી ખાતે 160 મીટર સ્પાન ધરાવતો ડબલ હાઈટ કેબલ સ્ટ્રેઇડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે, આ બ્રિજ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો આઇકોનિક બ્રિજ બનશે, ભાવનગરમાં દેસાઈનગરથી વરતેજ સુધીના માર્ગ પર રહેણાંક વિસ્તારો અને GIDCના અંદાજે 31 જેટલા જંક્શનો આવે છે, જ્યાં સતત ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભય રહેતો હતો. હવે આ બ્રિજ બનતા ઉપરોક્ત તમામ જંક્શનો પરથી વાહનો કોઈપણ અવરોધ વગર પસાર થઈ શકશે. આ માર્ગ પર GIDC ઉપરાંત મહુવા, તળાજા, ઘોઘા અને હજીરા ફેરી સર્વિસ માટે ભારે વાહનો, ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટની સતત અવરજવર રહે છે આ બ્રિજ બનવાથી આ ઉદ્યોગોને પણ વેગ મળશે, તદુપરાંત નારી ચોકડીથી એન્ટર થઈને RTO સુધી સીધા ટ્રાવેલ કરતા વાહનો હવે વરતેજથી જ બ્રિજ પર ચડી શકશે, જેથી સ્થાનિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે, આ પ્રોજેક્ટને મંજૂરી મળતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માર્ગ ભાવનગરના વિકાસ દ્વાર સમાન છે, જ્યાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ભારણ વધી રહ્યું હતું, ભાવનગરવાસીઓની લાગણીને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને આ બાબતે હકારાત્મક વિચારણા કરવા રજૂઆત કરી હતી, જેને હકારાત્મક વાચા આપીને બ્રિજના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ભાવનગર શહેરને પણ રાજ્યના અને દેશના અન્ય મહાનગરોની સમકક્ષ વિકસાવવા માટે અગાઉ મંત્રી જીતુ વાઘાણીએ સંકલ્પ કર્યો હતો, જ્યાં, પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, ગટર વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પહોળા અને ગુણવત્તાયુક્ત રોડ, ઓવરહેડ ટેન્ક તેમજ સ્વચ્છતા જેવી તમામ બાબતોએ અન્ય મહાનગરોની બરાબર જ વિકાસ પામે. આજે મંત્રી જીતુભાઈના પ્રયત્નોથી તેમનો આ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ ભાવનગરમાં નિર્માણ પામી રહ્યો છે, આ ફ્લાઈઓવર બ્રિજના નિર્માણથી ભાવનગર પશ્ચિમ વિસ્તારના વિકાસને નવી પાંખો મળશે અને લાખો વાહનચાલકોને દરરોજની હાડમારીમાંથી મુક્તિ મળશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 3:25 pm

વનિતાબેન પટેલ અરવલ્લી રેડક્રોસ સોસાયટીના ચેરમેન બન્યા:મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની સર્વાનુમતે વરણી

અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલની તારીખ 24/03/2026ના રોજ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. વનિતાબેન પટેલ અગાઉ મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના બહોળા વહીવટી અનુભવ અને લોકસેવાની ભાવનાથી રેડક્રોસ સોસાયટીની માનવીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટી મોડાસામાં લેબોરેટરી અને ડેન્ટિસ્ટ જેવી અનેક સેવાઓ પૂરી પાડે છે. વરણી બાદ સંસ્થાના કારોબારી સભ્યો અને શુભેચ્છકોએ વનિતાબેન પટેલને અભિનંદન પાઠવી તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે, અગાઉ ચેરમેન તરીકે સેવાઓ આપનાર ભરતભાઈ પરમારની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 3:23 pm

ભાલપરાથી મીઠાપુર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં:સ્થાનિકોને ભારે હાલાકી, પૂર્વ તા.પં. સભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, રસ્તાના સમારકામની માગ

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ બાયપાસ નેશનલ હાઇવે નીચે ભાલપરાથી મીઠાપુર ગામ સુધીનો આશરે ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ વેરાવળ શહેરને આસપાસના ગામડાઓ સાથે જોડે છે. અહીં કનકાઈ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું હોવાથી ભક્તો અને સ્થાનિકોની અવરજવર સતત રહે છે. ઉપરાંત, આસપાસના મોટા વાડી વિસ્તારને કારણે કૃષિ સંબંધિત વાહનોનો ટ્રાફિક પણ નોંધપાત્ર રહે છે. માર્ગની ખરાબ હાલત વાહનચાલકો માટે રોજિંદી મુશ્કેલીઓ ઊભી કરે છે. રસ્તા પરના ખાડા અને અસમાન સપાટીને કારણે સમયનો વ્યય થાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે. વરસાદની મોસમમાં આ સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને, વેરાવળ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વાલજી બામણીયાએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ અથવા પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે. સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે, તંત્ર આ માર્ગના સુધારણા માટે તાત્કાલિક પગલાં ભરે. આનાથી લોકોની રોજિંદી અવરજવર સરળ બનશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 3:18 pm

MSUની ટીમે નેશનલ પ્લેટફોર્મ પર ગજવ્યું મેદાન:બેંગલુરુમાં આયોજિત HPCL આઈડિએશન કોન્ટેસ્ટમાં રસાયણશાસ્ત્ર વિભાગે દ્વિતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ચમકી છે. ફેકલ્ટી ઓફ સાયન્સના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રોફેસર (ડૉ.) અંજલી પટેલ અને તેમની ટીમે બેંગલુરુ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘ન્યુ જનરેશન આઈડિએશન કોન્ટેસ્ટ-2025’માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. કઠિન સ્પર્ધા અને ટીમની સિદ્ધિહિંદુસ્તાન પેટ્રોલિયમ ગ્રીન RD સેન્ટર (HPCL) દ્વારા 2009થી આયોજિત આ સ્પર્ધામાં ભારતભરમાંથી 400થી વધુ પ્રપોઝલ્સ આવ્યા હતા. અનેક તબક્કાની ચકાસણી બાદ માત્ર 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા. પ્રોફેસર (ડૉ.) અંજલી પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. માર્ગી જોષી અને કવન ચૌહાણની ટીમે પીએચ.ડી. અને પોસ્ટ-ડૉક્ટરલ કેટેગરીમાં આ સફળતા મેળવી છે. સંશોધનનો વિષય: ભારતનો નેટ ઝીરો ગોલટીમ દ્વારા “મોડીફાઈડ ઝીઓલાઇટ એસ હેટરોજીનીયસ કેટલીસ્ટ્સ ફોર બાયોમાસ વેલોરાયજેસન: અ રોડમેપ ટાવર્ડ્સ ઇન્ડિયાસ નેટ ઝીરો ગોલ્સ” વિષય પર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સંશોધનનો મુખ્ય હેતુ ઉપલબ્ધ બાયોમાસને મૂલ્યવર્ધિત રસાયણોમાં રૂપાંતરિત કરવાનો છે, જે ભારતને 2070 સુધીમાં ‘નેટ ઝીરો’ ઉત્સર્જનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદરૂપ થશે. સતત સંશોધન અને સહકારઓક્ટોબર 2025માં મંગાવવામાં આવેલી અરજીઓ બાદ વિવિધ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમે આ સ્થાન હાંસલ કર્યું છે. આ સંશોધન કાર્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)નો સહયોગ અત્યંત મહત્વનો રહ્યો છે. ગ્રીન કેમિસ્ટ્રી અને સસ્ટેનેબલ ટેકનોલોજી ક્ષેત્રે આ સંશોધન ભવિષ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે માર્ગદર્શક સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 3:16 pm

ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું

Gujarat Weather: ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને 30થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફદેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું. ભાટિયામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગુજરાત સમાચાર 2 Apr 2026 3:08 pm

હનુમાન જયંતીની ઠેરઠેર ભવ્ય ઉજવણી:શહેરના ગોળીબાર હનુમાનજી મંદિર તથા ઝાંઝરીયા હનુમાનજી મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ, સાંજે 150થી વધુ વાનર સેનાની શોભાયાત્રા નીકળશે

આજરોજ સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઠેરઠેર હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર તથા અધેવાડા પાસે આવેલા ઝાંઝરીયા હનુમાનજી મંદિરે આજે સવારથી જ દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી, તેમજ બજરંગ દળ દ્વારા સાંજે રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે, તેમજ 150થી વધુ વાનર સેના નગરચર્યાએ નીકળશે, ચૈત્ર સુદ પૂનમના દિવસે રામભક્ત હનુમાનજીના જન્મોત્સવ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેર અને જિલ્લાભરના હનુમાનજી મંદિરમાં આજે સવારથી જ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા છે. શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરે બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી. ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે સદગુરુ મદનમોહનદાસ બાપાના આશીર્વાદથી હનુમાન જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ગોળીબાર મંદિરના ખાતે ભક્તો પૂજા અર્ચના કરી સવારથી જ દર્શન કરવા મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી, શહેરના અધેવાડા ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ ઝાંઝરીયા હનુમાનજી મંદિરે પણ સવારથી જ ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બપોર સુધીમાં હજારો ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સવારે અને બપોરના સમયે મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો, અંબિકા માતાજીના મંદિરેથી વાનર સેનાનું તથા દેવી દેવતાઓના વેશ ભૂષા સાથેના ફલોટનું નગરચર્યાએ સાંજે 5 વાગે નિકળવાનું આયોજન કરેલ છે તેમાં વિશેષ ઉપસ્થિતિ સહ આર્શિવચન મહંત ઘનશ્યામ મહારાજ, મહારાજ લોકુરામશર્મા, દુઃખભંજની દેવુમાં, ઉપસ્થિત રહેશે, જેમાં દેવી દેવતાઓ તથા 151 વાનર નગરચર્યાએ હનુમાન જન્મોત્સવ નીમીતે સિંધુનગર વિસ્તારમાં ફરી નગરજનોને દર્શન આપશે.. વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા આગામી 'બલોપાસના દિવસ' અને હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ડૉ.બાબા સાહેબ આંબેડકર પ્રખંડ કુંભારવાડા તલાવડી પ્રેરિત આ શોભાયાત્રા સતત પાંચમા વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળશે. જેમાં બાલા હનુમાન દાદા મંદિર, માઢીયા રોડ, ધનાભાઈની હોટલ પાસે આ શોભાયાત્રામાં શહેરના આદરણીય સાધુ-સંતો, મહંતો અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. આ શોભાયાત્રા ડીજેના તાલે શ્રી બાલા હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી માઢીયા રોડ, રામદેવજી મહારાજ મંદિર, બાથાભાઈનો ચોક, મેલડી માતા મંદિર, શીતળા માતા ડેરી અને નારી રોડ થઈને પરત ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે નિજ મંદિર પહોંચશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:58 pm

વલસાડના હિંગરાજમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી:350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો

વલસાડ તાલુકાના હિંગરાજ ગામમાં આવેલા વૈકરિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ 350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો હતો, જેમાં 40 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વલસાડ જિલ્લા ઉપરાંત દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મંદિરના ટ્રસ્ટી મગન ટંડલે જણાવ્યું હતું કે, આ મંદિર આશરે 350 વર્ષ જૂનું અને પૌરાણિક છે. તેમણે ઉમેર્યું કે વર્ષો પહેલા તેમના વડવાઓએ માત્ર 1 કિલો ચોખાથી હનુમાન જયંતિની ઉજવણી અને ભંડારાની શરૂઆત કરી હતી. આ પરંપરા આજે 1500 કિલો ચોખા સુધી પહોંચી છે. ભંડારામાં દાળ-ભાત, શાક, લાપસી અને ખમણ જેવી વાનગીઓનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં પૂજા, અર્ચના અને અભિષેક કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાની મૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પ્રીતમ નગર યુવક મંડળ દ્વારા હનુમાન દાદાને 11 કિલોની કેક અર્પણ કરવામાં આવી હતી. સાંજે આરતી બાદ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કેક કાપવામાં આવી હતી અને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં દરિયાઈ પટ્ટી પર વસતા માછીમાર સમાજ સહિત તમામ જ્ઞાતિના આશરે 35 થી 40 હજાર ભક્તોએ ભંડારાનો લાભ લીધો હતો. સ્થાનિક લોકવાયકા મુજબ, વૈકરિયા હનુમાનજી દાદા અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે. ભક્તોમાં એવી માન્યતા છે કે અહીં મનોકામના વ્યક્ત કરનારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:58 pm

દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ:આચારસંહિતા, EVM અને મતદાન જાગૃતિ માટે નોડલ અધિકારીઓને જવાબદારી

દાહોદમાં એપ્રિલ-2026માં યોજાનારી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને આદર્શ રીતે પૂર્ણ કરવા માટે ૨૦થી વધુ પાસાઓ પર ઝીણવટભરી ચર્ચા કરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવી સમયબદ્ધ રીતે જવાબદારી નિભાવવા સૂચના આપી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અત્યંત મહત્વની છે. આદર્શ આચારસંહિતાના અમલમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. બેઠકમાં ઈવીએમ (EVM) વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાન મથકો પર પીવાના પાણી, વીજળી અને રેમ્પ જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ હતી. આ ઉપરાંત, પરિવહન અને ચૂંટણી સામગ્રીના મેનેજમેન્ટ માટે પણ રોડમેપ તૈયાર કરાયો છે, જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન આવે. ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે વિશેષ ટીમો તૈનાત કરાશે. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની હાજરીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા પોલીસ તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે. SVEEP અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન તેજ કરાશે. યુવા અને દિવ્યાંગ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહક કાર્યક્રમો યોજાશે. વહીવટી સ્તરે આઈ.ટી. કામગીરી, ઈ-ડેશબોર્ડ અને હેલ્પલાઈન જેવી સુવિધાઓ પણ કાર્યરત કરાઈ છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને સ્ટાફ વેલ્ફેર, તાલીમ આયોજન અને પોસ્ટલ બેલેટના છાપકામ જેવી જવાબદારીઓ ઝીરો એરર સાથે પૂર્ણ કરવા તાકીદ કરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:55 pm

વિસનગરમાં રાષ્ટ્રીય વોકિંગ ડે પર જાગૃતિ રેલી:લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા અપાઈ

વિસનગર, 1 એપ્રિલ, 2026: રાષ્ટ્રીય વોકિંગ ડે નિમિત્તે ભારત વિકાસ પરિષદ, વિસનગર શાખા દ્વારા આરોગ્ય જાગૃતિ માટે એક વોકિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પરિષદના સભ્યો અને પ્રમુખે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલી વિસનગર રેલ્વે સ્ટેશનથી શરૂ થઈને કમાણા ચોકડી સુધી પગપાળા યોજાઈ હતી. રેલી દરમિયાન ચાલો સ્વસ્થ રહીએ અને દરરોજ ચાલીએ – રોગોથી દૂર રહીએ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો. પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં નિયમિત ચાલવું એ સારા સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. કાર્યક્રમના અંતે, તમામ સભ્યોને નિયમિત વોકિંગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ રેલીમાં નવા વરાયેલા પ્રમુખ હર્ષદભાઈ પટેલ, મંત્રી આનંદભાઈ કોઠારી, ખજાનચી રીતેશ મોદી, ટ્રસ્ટ પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ટ્રસ્ટી કમલેશભાઈ સોની, ટ્રસ્ટી ડૉ. નિખિલ ઠક્કર, મહિલા સંયોજીકા રશ્મીબેન ગુપ્તા, વૈશાલીબેન કોઠારી, દિપીકાબેન મોદી, હંસાબેન પરમાર, મહેશજી પરમાર, પુનિત બારોટ, ચેતન સોની, ડૉ. પિયુષ પંડ્યા, અમર શાહ, ભરતભાઈ એલ.આઈ.સી., પ્રકાશભાઈ ગુપ્તા, પ્રકાશભાઈ મેવાડા, અને ભરતભાઈ દરજી સહિત અનેક સભ્યોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:44 pm

રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી

Image Source: Twitter Raghav Chadha: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ મોટો ફેરફાર કરતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે. હવે તેમના સ્થાને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અને પાર્ટી સાંસદ ડૉ. અશોક કુમાર મિત્તલ રાજ્યસભામાં પાર્ટીના નવા ડેપ્યુટી લીડર બનશે. રાઘવ ચઢ્ઢા અંગે રાજ્યસભા સચિવાલયને એક પત્ર મોકલવામાં આવ્યો છે. તેમને લઈને આ પહેલા પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી.

ગુજરાત સમાચાર 2 Apr 2026 2:44 pm

મહાવીર જન્મકલ્યાણમાં 1500 જરૂરિયાતમંદોને સંપૂર્ણ ભોજન કરાવાયું:ચુરમાના લાડુ, ફૂલવડી સહિત દાળ-ભાત, શાક-રોટલીનું વિતરણ

મહાવીર પ્રભુના જન્મ કલ્યાણ નિમિત્તે, મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 1500 જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજનમાં ચુરમાના લાડુ, ફૂલવડી, દાળ, ભાત, શાક અને રોટલીનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, અમદાવાદના વૃદ્ધાશ્રમો અને આંગણવાડીઓમાં પણ ફૂલવડી અને ચુરમાના લાડુના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:43 pm

પદ્મશ્રી અરવિંદ વૈદ્યનું સન્માન કરાયું:નાટ્ય સંપદા સંસ્થાએ અમદાવાદમાં વિશેષ કાર્યક્રમ યોજ્યો

પદ્મશ્રી અરવિંદ વૈદ્યનું અમદાવાદમાં નાટ્ય સંપદા સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું. તાજેતરમાં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી માટે ૩૧ માર્ચના રોજ એલિસબ્રિજ જિમખાના ક્લબ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદ વૈદ્ય નેવુંના દાયકામાં “ભલા ભૂસા ના ભેદ ભરમ”ના લોકપ્રિય ‘ભલા કાકા’ તરીકે ઘરેઘરે જાણીતા બન્યા હતા. “સારાભાઈ વર્સેસ સારાભાઈ”, “અનુપમા” અને “ખીચડી” જેવી લોકપ્રિય ટેલિવિઝન સિરિયલો દ્વારા તેઓ સમગ્ર દેશમાં લોકપ્રિય કલાકાર બન્યા છે. તેમની કલાત્મક યાત્રાની શરૂઆત અમદાવાદની નાટ્ય સંપદા સંસ્થા સાથે થઈ હતી. અહીં અરવિંદ વૈદ્ય અને એ. એ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ નેવુંના દાયકામાં સ્વચ્છ અને મનોરંજક નાટકોની અનોખી પરંપરા સર્જાઈ. નાટ્ય અગ્રણી કાંતિ મડિયાની પ્રેરણાથી મુંબઈમાં શરૂ થયેલી નાટ્ય સંપદા સંસ્થાને તેમણે અમદાવાદમાં સતત 15 વર્ષ સુધી જીવંત રાખી. તેમણે “અમે બરફ ના પંખી”, “નોખી માટી ને નોખા માનવી” અને “અમે તમે ને રતનિયો” જેવા અનેક નાટકોમાં અભિનય સાથે દિગ્દર્શન કરીને અમૂલ્ય યોગદાન આપ્યું. અરવિંદ વૈદ્યને પદ્મશ્રી પુરસ્કાર મળવો એ સમગ્ર નાટ્ય સંપદા પરિવાર અને નાટ્ય જગત માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે. આ કાર્યક્રમમાં મીનળ મન્સૂરી, ડાયના રાવલ, મૈત્રેયી મહેતા, હિમાંશુ પાઠક અને સમગ્ર નાટ્ય સંપદા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:42 pm

કડીની SV અને સૂરજબા કોલેજમાં વાર્ષિકોત્સવ યોજાયો:ભૂતપૂર્વ તાલીમાર્થી સંમેલન સાથે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

કડી સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા 24મા વાર્ષિક સમારંભ અને ભૂતપૂર્વ તાલીમાર્થી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરાસુરી માતા અંબાજી ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર તેમજ અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ. કૌશિકભાઈ મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વર્ષ 2003ના ભૂતપૂર્વ તાલીમાર્થી છે. તેમણે પોતાના વક્તવ્યમાં કોલેજના સંસ્કાર, મૂલ્યો અને જીવનમાં તેમની પ્રાસંગિકતા અંગે વિચારો રજૂ કર્યા હતા. વિશેષ અતિથિ તરીકે સી.એન. આર્ટ્સ એન્ડ બી.ડી. કોમર્સ કોલેજના આચાર્ય ડો. જી.ડી. ત્રિપાઠીએ હાજરી આપી હતી. તેમણે તાલીમાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે સર્વ વિદ્યાલય કેમ્પસમાં અભ્યાસ કરવો એ ગૌરવ અને જીવન ઘડતરનો અવસર છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇનચાર્જ ડાયરેક્ટર પ્રો. ગર્ગીબેન રાજપરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તાલીમાર્થીઓને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન અભ્યાસિક અને સહઅભ્યાસિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તાલીમાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભૂતપૂર્વ તાલીમાર્થીઓને પણ તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનપત્રો અર્પણ કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન આચાર્ય ડો. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવના કો.ઓર્ડિનેટર ડૉ. તેજસ ઠક્કર, ભૂતપૂર્વ તાલીમાર્થી મંડળના કો.ઓર્ડિનેટર ડો. અલકા પંચાલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કો.ઓર્ડિનેટર ડૉ. મનિષા જાદવ દ્વારા આયોજન સુચારુ રીતે પાર પડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:40 pm

શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા શાળામાં વાર્ષિકોત્સવ:વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા

ગોતાલાવાડીની શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક કુમાર શાળા નંબર-117માં વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં SMC અધ્યક્ષ, સભ્યો, મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામો, પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગરબા અને નૃત્ય જેવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક, રમતગમત, કલા અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને બહુમાન આપવામાં આવ્યું હતું. સમારોહમાં શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા વર્ષભરની પ્રગતિ અને સિદ્ધિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવો, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું અને શાળા, શિક્ષકો તેમજ વાલીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે શ્રી ચંદ્રિકાબેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક અને માર્ગદર્શક વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:39 pm

રોજગાર ન મળતાં ટ્રક આડે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, CCTV:વડોદરામાં વસવાટ કરતો નેપાળી યુવાન 5 દિવસથી રાજકોટ કામધંધાની શોધમાં આવ્યો'તો; મોરબી હાઈવે પર યુવકનો આપઘાત

રાજકોટના મોરબી હાઈવે પર આવેલા હડાળા ગામના પાટીયા પાસે ગઈકાલે(1 એપ્રિલ) બપોરના સમયે એક કરૂણ ઘટના સામે આવી હતી. જેમાં વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની આશા સાથે રાજકોટમાં આવેલા 39 વર્ષીય નેપાળી યુવકે આર્થિક તંગી અને કામ ન મળવાને કારણે સર્જાયેલી માનસિક અસ્વસ્થતામાં ટ્રક હેઠળ મોતની છલાંગ લગાવી દીધી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં બંને પગ કપાઈ ગયા હતાહડાળા પાટીયા પાસે આવેલી વિરાટ હોટલમાં આશરો લઈ રહેલા જગદીશભાઈ રામદૂતપ્રસાદ જોશી (ઉ.વ.39) ગઈકાલે બપોરે 12.30 વાગ્યા આસપાસ ચાલીને જતા હતા ત્યારે અચાનક સામેથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. ​આ ભયાનક અકસ્માતમાં જગદીશભાઈના બંને પગ કપાઈ ગયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. 5 દિવસ પહેલાં રોજગારી માટે વડોદરાથી આવ્યો હતોપોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક છેલ્લા પાંચ દિવસથી વડોદરાથી અહીં આવ્યો હતો અને સતત કામની શોધમાં ફરતો રહેતો હતો. લાંબા સમયની મહેનત છતાં કોઈ રોજગારી ન મળતા હતાશામાં ગરકાવ થઈ જતા માનસિક સ્થિતિ પણ નબળી પડી હતી જેમાં આર્થિક સંકડામણ અને અનિશ્ચિત ભવિષ્યના ડરને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકને સંતાનમાં એક દીકરો અને દીકરીમૃતક યુવાન જગદીશભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ આર્ટ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાથી રાજકોટ રોજગારી મળશે તેવી આશા સાથે આવેલા યુવાનનો દેહ હવે માદરે વતન પરત જશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:36 pm

સુરતના ગુમાનદેવ મંદિરે હનુમાન જયંતિની ભક્તિમય ઉજવણી:બેગમપુરા સ્થિત મંદિરે ભક્તોએ દર્શન-પ્રસાદનો લાભ લીધો

સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા પ્રાચીન ગુમાનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ભજન-કીર્તન, હનુમાનજીના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.આ મંદિર સંત શ્રી નિરવાણ સાહેબના સમાધિ સ્થળ પર આવેલું છે. ગુમાનદેવ હનુમાનજીની મૂર્તિની સ્થાપના સંત શ્રી નિરવાણ સાહેબે પોતાના હાથે કરી હતી. આ બાબતનો ઉલ્લેખ પ્રાચીન ધાર્મિક પુસ્તકો અને લોકવાચનમાં પણ જોવા મળે છે, જેના કારણે આ સ્થળને વિશેષ ધાર્મિક મહત્વ પ્રાપ્ત થયું છે.આ પ્રસંગે ભક્તોએ શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. હનુમાન જયંતિનો આ ભક્તિમય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:32 pm

મહિલાના મોબાઈલમાંથી લોન લઈને રૂપિયા પડાવી બંને ભાગી ગયા:વડોદરામા નોકરી કરતી મહિલા પાસેથી ઓફિસના માલિક અને મેનેજરે 1.92 લાખ રૂપિયા પડાવી લીધા, રૂપિયા પરત ન આપતા પોલીસ ફરિયાદ કરી

વડોદરા જિલ્લાના ઉંડેરા ગામે રહેતા મહિલા પાસેથી ઓફિસના માલિક અને મેનેજરે 1.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા.વારંવાર રૂપિયાની માંગણી કરવા છતાં પરત આપ્યા નહોતા અને ઓફિસ બંધ કરીને બંને ભાગી થઈ જતા મહિલાએ ઓફિસ માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે.કોમ્પ્યુટર ઓપરેટર મહિલા પાસેથી રુપિયા પડાવ્યાઉંડેરા ગામે રહેતા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી 35 વર્ષીય મહિલા નરગીસ વલવીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વડોદરામાં શ્રીજી હેલ્પ સેન્ટરમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. આ દરમિયાન ઓફિસના માલિક મોહન મેરીયાએ પૈસા માંગ્યા હતા.1 નવેમ્બર 2025ના રોજ નરગીસબેને પોતાની બહેનના ખાતામાંથી 19,800 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરી 50,000 રૂપિયાની માંગણી કરતા તેમણે મંગળસૂત્ર ગીરવે મૂકી 49,500 રૂપિયા ગુગલ પે મારફતે આપ્યા હતા.આરોપીએ એક મહિનામાં રકમ પરત આપવાનું કહ્યું હતું, પરંતુ પરત આપ્યા નહોતા.જાણ બહાર મહિલાના મોબાઈલમાંથી લોન લઈ લીધીત્યારબાદ મોહન મેરીયા અને મેનેજર મનિષ શાહે મહિલાના મોબાઈલમાં મની વ્યૂ એપ ડાઉનલોડ કરીને તેની જાણ વગર 1 લાખ રૂપિયાની લોન લીધી હતી અને તેમાંથી રૂ.90,000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીએ મહિલાના મોબાઈલમાં પોતાનો પાસવર્ડ અને ફિંગરપ્રિન્ટ સેટ કરી દીધા હતા.આ ઉપરાંત મહિલાનું યસ બેંકનું ક્રેડિટ કાર્ડ પણ લઈ તેનો ઉપયોગ કરીને 33,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.ત્યારબાદ મહિલાએ પોતાની બહેન પાસેથી ઉછીના લઈને બિલ ચૂકવ્યું હતું.બંને આરોપીઓએ મળીને મહિલા પાસેથી 1,92,300 રૂપિયાની રકમ લીધી હતી. પૈસા પરત માંગતા તેઓ વારંવાર વાયદા આપતા હતા. જાન્યુઆરી 2026 પછી ફોન બંધ કરીને ઓફિસ બંધ કરીને ભાગી થઈ ગયા હતા. સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને આરોપી મોહન મેરીયા અને મનિષ શાહની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:28 pm

રાજકોટમાં 3000 સ્થળોએ હનુમાન જયંતીની ઉજવણી:બાલાજી હનુમાનજી મંદિરે આરતીમાં 2000 ભક્તો ઉમટ્યા, કેક કટિંગ કરાયુ, બાળ હનુમાને આકર્ષણ જગાવ્યુ

આજે 2 એપ્રિલના શહેરના કષ્ટભંજન બાલાજી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં હનુમાન દાદાની મહાનીરાજનમ આરતીમાં 2000 થી વધુ ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન બાળકોથી લઈ યુવાનો, મહિલાઓ અને વડીલોએ કષ્ટભંજન દેવની આરાધના કરી હતી. જે બાદ હેપ્પી બર્થ ડે લખેલી હનુમાનજીની ગદા સાથેની વિશાળ કેકનું કટીંગ કરવામાં આવ્યુ હતુ. શહેરમાં 3000 થી વધુ જગ્યાએ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ભક્તો બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ ગ્રહણ કરશે. રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતિનો ઉત્સવ પુરા ભારત વર્ષમાં જ નહીં પરંતુ વિશ્વમાં ધામધૂમથી ઉજવાતો હોય છે. આજે બાલાજી હનુમાનજી મંદિરે સવારે દિવ્ય આરતી કરવામાં આવી હતી. જ્યારે બપોરે હનુમાન દાદાની મહાનીરાજનમ આરતી અને કેક કટીંગ કરવામાં આવી હતી. બપોર બાદ 108 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે પણ મહાનીરાજનમ આરતી યોજાશે. રાત્રે 8 થી 11.30 વાગ્યા સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ રાત્રિના સમયે ખૂબ જ ભવ્યતાથી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. શહેરના ભાવિકજનો આ તમામ પ્રસંગોનો લાભ લે તેવું આમંત્રણ છે. આ દરમિયાન બાલાજી હનુમાનજી મંદિરે દર્શન માટે આવેલા આશિકા રૂપાપરાએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતીના દિવસે લોકો હનુમાનજીની સેવા પૂજા અને અર્ચના કરે છે. જેથી આ પ્રસંગે હું મારા બાળકને હનુમાનજી બનાવીને અહીં બાલાજી મંદિરે દર્શન માટે લઈ આવી છું. લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે મોટી સંખ્યામાં ભક્તજનો અહીં જોડાયા છે. અહીં હનુમાનજી દાદાના જન્મદિવસના અનુલક્ષીને કેક કટીંગ કરવામાં આવી હતી. જેથી અહીં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:13 pm

સુરતમાં 181 અભયમની માનવીય સંવેદના:અટવાયેલી મહિલાને બાળકો સાથે મિલાવી, પરિવારે હેલ્પલાઇનનો માન્યો હૃદયપૂર્વક આભાર

સુરત શહેરના ઉમરા વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સતર્કતા અને માનવીય અભિગમને કારણે એક અસહાય મહિલાનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન શક્ય બન્યું છે. ભટકતી હાલતમાં મળી આવી મહિલા અલથાણ વિસ્તારમાં અંદાજે 35 વર્ષીય એક મહિલા અસહાય અને ભટકતી હાલતમાં હોવાની જાણ એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને કરી હતી. આ મહિલા કોઈની પણ સાથે વાતચીત કરી શકવાની સ્થિતિમાં નહોતી. માહિતી મળતાની સાથે જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલા સાથે સંવેદનશીલતાથી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મહિલા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ તે પોતાનું ચોક્કસ સરનામું જણાવી શકતી નહોતી. પરિવારની શોધ અને પરામર્શ સ્થાનિક પૂછપરછના આધારે અભયમ ટીમે મહિલાના પતિ અને ત્યારબાદ તેની માતાનો સંપર્ક કર્યો હતો. માતાએ જણાવ્યું કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તે અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. મહિલાને 5 સંતાનો છે અને તેનો પતિ મજૂરી કામ માટે બહાર ગયો હતો. અભયમ ટીમે સલામત રીતે મહિલાને તેના પિયર પહોંચાડી પરિવારને સોંપી હતી. જવાબદારી અને સારવારની સમજ માત્ર પુનઃમિલન જ નહીં, પરંતુ ટીમે પરિવારનું અસરકારક કાઉન્સેલિંગ પણ કર્યું હતું. ટીમે સમજાવ્યું કે મહિલાની માનસિક સ્થિતિને જોતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાવવી જરૂરી છે. પરિવારને મહિલા પ્રત્યે સકારાત્મક અને સંવેદનશીલ વર્તન રાખવાની તેમજ કાયદાકીય પાસાઓ ધ્યાને રાખી જવાબદારી નિભાવવાની સૂચના આપી હતી. અંતે, પરિવારે 181 ટીમની આ સેવાની સરાહના કરી આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:13 pm

રાજ્યના એકમાત્ર અંજની માતા મંદિરે જન્મોત્સવ:અમદાવાદમાં રાજભા ગઢવીના ડાયરાની રમઝટ સાથે હનુમાનજીની ભક્તિનો અનોખો સંગમ રચાયો

અમદાવાદના થલતેજ ટેકરા નજીક, દુરદર્શન ચાર રસ્તા પાસે આવેલું અંજની માતા હનુમાનજી મંદિર આજે ભક્તિમય માહોલમાં રંગાયું છે. રાજ્યના આ એકમાત્ર અનોખા મંદિરમાં આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરને આજે સવારથી જ મનમોહક ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મહંત વિજયદાસજી મહારાજની નિશ્રામાં પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજભા ગઢવીના ડાયરાની જામશે જમાવટઆ વર્ષની ઉજવણીની વિશેષતા એ છે કે, જન્મોત્સવની સંધ્યાએ મંદિરના પ્રાંગણમાં લોકપ્રિય કલાકાર રાજભા ગઢવી દ્વારા ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભજન-કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવે છે, જેનો હજારો ભાવિકો લાભ લેતા હોય છે. દિવસભરના ધાર્મિક કાર્યક્રમોનું શિડ્યુલહનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિનો ધોધ વહી રહ્યો છે. કાર્યક્રમોની વિગત નીચે મુજબ છે: 04:00 વાગ્યે: હનુમાનજી મહારાજનો અભિષેક 06:00 વાગ્યે: મંગળા આરતી 08:00 વાગ્યે: મારુતિ હવન 11:00 વાગ્યે: ધ્વજા રોહણ 12:30 વાગે: શ્રીફળ હોમવાની વિધિ 06:30 વાગ્યે: સંધ્યા આરતી 07:00 વાગ્યે: મહાપ્રસાદીનું વિતરણ 07:30 વાગ્યે: ભવ્ય સંતવાણી અને લોક ડાયરો 70 વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસછેલ્લા 70 વર્ષથી સ્થાપિત આ મંદિર માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં હનુમાનજીની સાથે તેમના માતૃશ્રી અંજની માતા પણ બિરાજમાન છે અને તેમની નિત્ય પૂજા થાય છે. પશ્ચિમ વિસ્તારમાં લાખો શ્રદ્ધાળુઓ માટે આ આસ્થાનું ધામ છે. મંદિર દ્વારા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ સતત ચલાવવામાં આવે છે. આ વર્ષે 2 એપ્રિલના રોજ સવારથી મોડી રાત સુધી ભક્તો માટે દર્શન અને પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 2:09 pm

SOG PI આર.એ. પટેલની અમદાવાદ બદલી:પંચમહાલ પોલીસે વિદાય સમારંભ યોજી સન્માન કર્યું

પંચમહાલ જિલ્લા SOG (Special Operations Group) ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. તેમની બદલીના પગલે ગઈ કાલે રાત્રે પંચમહાલ પોલીસ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. ગોધરા ખાતે યોજાયેલા આ વિદાય કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. PI આર.એ. પટેલે પંચમહાલ જિલ્લામાં અનેક મહત્વના કેસો ઉકેલવામાં તથા શાંતિ વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમારંભ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને સહકર્મીઓએ આર.એ. પટેલના કાર્યકાળની સરાહના કરી હતી. તેમની નિષ્ઠા અને ગુનાખોરી નિયંત્રણની કુશળતાને યાદ કરાઈ હતી. સાથી કર્મચારીઓએ તેમને સાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આર.એ. પટેલ હવે અમદાવાદ શહેર પોલીસમાં પોતાની સેવાઓ આપશે. વિદાય પ્રસંગે PI આર.એ. પટેલે પંચમહાલ પોલીસ પરિવાર અને જનતા તરફથી મળેલા સહયોગ બદલ આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:59 pm

ગુજરાતમાં AAP કાર્યકરોની ધરપકડ મુદ્દે રાજકારણ ગરમાયું:કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, મળવા માટે સમય માંગ્યો

ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. કેજરીવાલે જણાવ્યું છે કે, ગુજરાતમાં AAPના આશરે 160 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં 10 હજાર જેટલા કાર્યકરોને ધરપકડ કરવાની યોજના બનાવાઈ રહી છે. તેમણે મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાત માટે સમય પણ માંગ્યો છે. પોલીસની કાર્યવાહી પાછળ ભાજપનો હાથઃ મનોજ સોરઠિયાઆ મુદ્દે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAP કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પાછળ ભાજપના નેતાઓનો હાથ છે અને વિરોધ પક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ‘જનતાનો અવાજ દબાવી દેવાશે તો સરકાર સુધી સાચી વાત કેમ પહોંચશે?’સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે, લોકશાહીમાં દરેક રાજકીય પક્ષને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે, પરંતુ જો આ રીતે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષને દબાવવામાં આવશે તો લોકશાહી માટે ખતરનાક પરિસ્થિતિ ઉભી થશે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો જનતાનો અવાજ જ દબાવી દેવામાં આવશે તો સરકાર સુધી સાચી વાત કેવી રીતે પહોંચશે? આગામી દિવસોમાં તણાવ વધી શકે!AAP તરફથી કેજરીવાલના પત્રને જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે, જેથી ગુજરાતની જનતા સુધી સત્ય પહોંચે. આ સમગ્ર મામલે રાજ્યની રાજનીતિમાં આગામી દિવસોમાં વધુ તણાવ જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:50 pm

વડોદરામાં વેપારીને ચાકુ બતાવી 3.50 લાખ રૂપિયાની લૂંટ:મોપેડ સવાર ત્રિપુટીએ વેપારીને ચપ્પુ બતાવીને કહ્યું: ડેકી ખોલ અને પૈસા આપી દે, પૈસા અને મોબાઈલ છીનવીને આરોપીઓ ભાગી ગયા

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મોપેડ પર આવેલા 3 અજાણ્યા લૂંટારૂઓએ ચપ્પુ બતાવી ધમકી આપી વેપારી પાસેથી 3.50 લાખ રૂપિયા અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ મામલે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે CCTV ફૂટેજના આધારે 3 લૂંટારૂની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા હુસૈન કાઈદભાઈ સાહેરવાલા (ઉ.વ.27) એ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ સાહેરી પ્લાય સેન્ટરનો વ્યવસાય કરે છે. તેઓ દુકાનનું દૈનિક કલેક્શન લઈને એક્ટીવા પર ઘરે જવા માટે નિકળ્યા હતા. બુધવારે5સાંજે 6:30 વાગ્યાની આસપાસ કિસ્મત ચોકડીથી મહારાજા ચાર રસ્તા વચ્ચે દેવદાસ ફાર્મ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી આવી રહેલી મોપેડ પર આવેલા 3 શખ્સોએ તેમની એક્ટીવાને રોકી હતી. મોપેડ ચાલકે ચાલતી એક્ટીવા પર પગ મૂકી વાહન અટકાવ્યું હતું અને એકટીવાની ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ એક શખ્સ નીચે ઉતરી ચપ્પુ બતાવીને ધમકી આપી હતી કે, ડેકી ખોલ અને પૈસા આપી દે. જેથી ડરી ગયેલા વેપારીએ એક્ટીવા સાઇડમાં મૂકી દીધી હતી. લૂંટારૂઓએ ડેકી ખોલીને 3.50 લાખ રૂપિયા લઈ લીધા હતા અને સાથે જ વેપારી પાસેથી મોબાઈલ પણ પડાવી લીધો હતો. ત્યાર બાદ ત્રણેય આરોપીઓ મોપેડ પર ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે વેપારીએ પરિવારજનોને બોલાવ્યા હતા અને પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે લૂંટનો ગુનો નોંધીને ત્રિપુટીની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:49 pm

ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ:256 બેઠક પર 9 લાખથી વધુ મતદારો કરશે મતદાન

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી એ.વી. ઉપાધ્યાયે પત્રકાર પરિષદમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. જિલ્લામાં નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વહીવટી મશીનરી સક્રિય થઈ છે. જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 256 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો, 6 તાલુકા પંચાયતની 128 બેઠકો અને 4 નગરપાલિકાના 32 વોર્ડની 128 બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 22 ચૂંટણી અધિકારીઓ અને 28 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જિલ્લામાં કુલ 1010 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં 5558 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. મતદારોની સુવિધા માટે દરેક મતદાન મથક પર જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદારોની સંખ્યા મુજબ, તાલુકા પંચાયત માટે 7,11,988 મતદારો અને નગરપાલિકાઓ માટે 2,06,908 મતદારો નોંધાયેલા છે. આમ, જિલ્લામાં કુલ 9 લાખથી વધુ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. ચૂંટણી દરમિયાન કોઈપણ અનિયમિતતા ટાળવા સતત મોનિટરિંગ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી સંબંધિત 13 જાહેરનામા અમલમાં મૂકવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:47 pm

ગીર સોમનાથમાં 'આપ'ને મોટો ફટકો:વેરાવળ-પાટણના 30થી વધુ કાર્યકરો કોંગ્રેસના શરણે; રાજકીય સમીકરણોમાં મોટો પલટો

ગીર સોમનાથના રાજકીય ફલક પર આજે એક મોટી ઉથલપાથલના દ્રશ્યો સર્જાયા છે. શાસક અને વિપક્ષના ગણિત વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ને ગઢ ગણાતા વિસ્તારમાં કારમો ઝટકો લાગ્યો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના છાવણીમાં ઉત્સાહનો સંચાર થયો છે. વેરાવળ-પાટણ પંથકના 'આપ' ના પાયાના અગ્રણીઓ અને સમર્પિત કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષને વધુ સક્ષમ બનાવ્યો છે. વિરોધ પક્ષોએ 'આપ'ની ઉંઘ હરામ કરી દીધી'આપ' ના વેરાવળ-પાટણ શહેરના સહ-પ્રભારી પ્રકાશભાઈ વાયલું, પાટણ દલિત હાડી સમાજના પ્રમુખ ભાવેશભાઈ ચુડાસમા તથા ભોય સમાજના અગ્રણી રવિભાઈ વાઘેલા સહિત 30 થી વધુ સક્રિય કર્મશીલોએ આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડી કોંગ્રેસનો સાથ સ્વીકાર્યો છે. સામૂહિક પક્ષ પલટાની આ ઘટનાએ ગીર સોમનાથના સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે અને વિરોધ પક્ષોની ઉંઘ હરામ કરી દીધી છે. વિમલભાઈ ચુડાસમાએ હર્ષ વ્યક્ત કર્યો આ અવસરે વિમલભાઈ ચુડાસમાએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘જનતા હવે માત્ર પોલા વાયદાઓથી ભ્રમિત થવાને બદલે નક્કર કાર્યો અને સેવાને મહત્વ આપી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરોનો કોંગ્રેસમાં આ પ્રવેશ એ સાબિત કરે છે કે લોકોનો જનવિશ્વાસ હવે કોંગ્રેસની વિચારધારા પર ફરી અવિરત રીતે વરસી રહ્યો છે.’ કોંગ્રેસ માટે વ્યૂહાત્મક વિજય! રાજકીય પંડિતોના મતે, આ ઘટનાક્રમ ગીર સોમનાથ જિલ્લામાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ એક વ્યૂહાત્મક વિજય સમાન છે. ખાસ કરીને સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી ચૂંટણીકીય જંગ માટે આ નવા સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. સમીકરણો તેજ ગતિએ બદલાઈ રહ્યા છે આ મહત્ત્વપૂર્ણ પક્ષ પરિવર્તન બાદ ગીર સોમનાથના રાજકીય સમીકરણો તેજ ગતિએ બદલાઈ રહ્યા છે. વર્તમાન માહોલ જોતા આગામી દિવસોમાં હજુ પણ અનેક અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરો પક્ષ પલટો કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેનાથી આગામી રાજકીય જંગ વધુ રોચક બનશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:44 pm

જગતપુરમાં IPL પર સટ્ટો રમતા બે ઝડપાયા:પંકિલ અને જીગ્નેશ એક જ કાફેમાં બેસીને ઓનલાઈન એપ્લીકેશનથી સટ્ટો રમી રહ્યા હતા

આઈપીએલનો પ્રારંભ થતાની સાથેજ બુકી અને સટ્ટોડીયાઓને ઝડપી લેવા માટે શહેર પોલીસ એક્ટીવ થઈ ગઈ છે. ચાંદખેડા પોલીસે જગતપુર પાસે આવેલા એક કાફેમાં સટ્ટો રમી રહેલા બે શખસની ધરપકડ કરી છે. બન્ને શખસ અલગ-અલગ બેસીને ક્રિકેટ સટ્ટો રમતા હતાં, જ્યાં પોલીસે શંકાના આધારે તેમની ધરપકડ કરી લીધી છે. બન્ને યુવકના મોબાઈલમાંથી સટ્ટો રમવાની એપ્લીકેશન મળી આવી હતી. બન્ને શખસ કયા બુકી પાસેથી સટ્ટો રમવા માટે આઈડી લીધી છે, તેની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસે યુવકની શંકાના આધારે તપાસ કરીચાંદખેડા પોલીસ પેટ્રોલીગમાં હતી, ત્યારે જગતપુર પાસે આવેલા એક કાફેમાં યુવક સતત મોબાઈલમાં એક્ટીવ હતો. પોલીસને યુવકની હરકતો પર શંકા જતા તેની પાસે જઈને મોબાઈલ લઈ લીધો હતો. મોબાઈલમાં જોયુ તો યુવક આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. યુવકનુ નામ જીગ્નેશ શાહ છે અને તે ગોતા ખાતે આવેલા સિલ્વર ગાર્ડનીયા સોસાયટીમાં રહે છે. ગઈકાલે લખનવ સુપર જાયન્ટ અને દિલ્હી કેપીટલ વચ્ચે મેચ ચાલતી હતી, જેમાં તે ઓનલાઈન સટ્ટો રમતો હતો. ચાંદખેડા પોલીસે આ મામલે જીગ્નેશની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. આજ કાફેમાંથી અન્ય યુવક પણ ઝડપાયોતો બીજી તરફ ચાંદખેડા પોલીસે પણ તે કાફેમાં વધુ એક યુવકને સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લીધો છે. ગોતામાં આવેલા યુનિક આશીયાનામાં રહેતો પંકિલ સ્વપનિલ રાવ પણ જગતપુરમાં આવેલા કાફેમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. પોલીસ પંકિલની પણ રંગે હાથ ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પંકિલ અને જીગ્નેશ એક જ કાફેમાં અલગ અલગ જગ્યા પર બેસીને ઓનલાઈન એપ્લીકેશનની મદદથી સટ્ટો રમી રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:40 pm

અમરેલી જિલ્લા સ્થાનિક સ્વરાજ ચૂંટણી, મતદાર યાદી જાહેર:6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત માટે ચૂંટણી પંચે આંકડા આપ્યા

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે સાંજે 6 નગરપાલિકા અને 11 તાલુકા પંચાયત માટે મતદારોની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સ્ત્રી, પુરુષ અને અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં કુલ 8,64,877 મતદારો નોંધાયા છે, જેમાં 4,55,449 પુરુષ, 4,09,427 સ્ત્રી અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે. તાલુકાવાર મતદારોની સંખ્યા આ મુજબ છે: અમરેલી (કુલ 94,852: પુરુષ 50,092, સ્ત્રી 44,760), વડિયા (કુલ 77,729: પુરુષ 40,897, સ્ત્રી 36,831, અન્ય 1), લાઠી (કુલ 73,008: પુરુષ 38,465, સ્ત્રી 34,543), બાબરા (કુલ 94,982: પુરુષ 49,844, સ્ત્રી 45,138), સાવરકુંડલા (કુલ 1,18,838: પુરુષ 62,922, સ્ત્રી 55,916), લીલિયા (કુલ 47,647: પુરુષ 25,102, સ્ત્રી 22,545), ધારી (કુલ 71,840: પુરુષ 38,109, સ્ત્રી 33,731), બગસરા (કુલ 45,141: પુરુષ 23,511, સ્ત્રી 21,630), ખાંભા (કુલ 71,878: પુરુષ 37,903, સ્ત્રી 33,975), રાજુલા (કુલ 1,06,193: પુરુષ 55,711, સ્ત્રી 50,482), અને જાફરાબાદ (કુલ 62,769: પુરુષ 32,893, સ્ત્રી 29,876). તેવી જ રીતે, જિલ્લાની 6 નગરપાલિકાઓમાં કુલ 2,10,677 મતદારો નોંધાયા છે, જેમાં 1,10,159 પુરુષ, 1,00,498 સ્ત્રી અને 20 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. નગરપાલિકાવાર મતદારોની સંખ્યા નીચે મુજબ છે: અમરેલી (કુલ 79,439: પુરુષ 41,246, સ્ત્રી 38,192, અન્ય 1), બાબરા (કુલ 14,749: પુરુષ 7,758, સ્ત્રી 6,991), સાવરકુંડલા (કુલ 56,184: પુરુષ 29,011, સ્ત્રી 27,159, અન્ય 14), ધારી (કુલ 23,072: પુરુષ 12,008, સ્ત્રી 11,062, અન્ય 2), બગસરા (કુલ 25,485: પુરુષ 13,431, સ્ત્રી 12,051, અન્ય 3), અને દામનગર (કુલ 11,748: પુરુષ 6,105, સ્ત્રી 5,643). ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે. કોંગ્રેસ દ્વારા મોટાભાગની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે ભાજપ દ્વારા આજથી બે દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને નિરીક્ષકો સાંભળી રહ્યા છે અને પાર્ટીના નીતિ-નિયમો હેઠળ આ પ્રક્રિયા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:26 pm

હિંમતનગરના હરસિધ્ધિ મંદિરે ચૈત્રી પૂનમે નવચંડી હવન:યજમાનોએ પૂજન અર્ચન સાથે હવનનો લાભ લીધો

હિંમતનગરના હરસિધ્ધિ માતાજીના મંદિરે ચૈત્રી પૂનમના દિવસે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો. આ હવન સાંજે શ્રીફળ હોમ સાથે સંપન્ન થશે. ગુરુવારે ભક્તોએ માતાજીની ગરુડ પર સવારીના દર્શન કર્યા હતા. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ હોવાથી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરના હરસિધ્ધિ માતાજીના મંદિરે યોજાયેલા નવચંડી હવનના યજમાન મણીબેન વસરામભાઈ પટેલ હતા, જેમણે સુરેશભાઈ વી. પટેલના હસ્તે હવનનો લાભ લીધો હતો. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને પૂજન-અર્ચન સાથે હવનનો પ્રારંભ થયો હતો. આ નવચંડી હવનની પૂર્ણાહુતિ સાંજે 4 વાગ્યે શ્રીફળ હોમ સાથે થશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:26 pm

જામનગર મનપા ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:16 વોર્ડની 64 બેઠકો માટે દાવેદારોનો ભારે ધસારો

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં 16 વોર્ડની 64 બેઠકો માટે દાવેદારોને સાંભળવાની 'સેન્સ' પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. આ પ્રક્રિયા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય પરથી 16 વોર્ડ માટે કુલ 1575 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે આ તમામ દાવેદારોને પ્રદેશ નિરીક્ષકો દ્વારા 'વન-ટુ-વન' સાંભળવામાં આવી રહ્યા છે. વ્યવસ્થા જાળવવાના હેતુથી દાવેદારોને સાંભળવા માટે બે અલગ-અલગ ટીમો અને સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. વોર્ડ 1 થી 8 માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે ધારાસભ્ય કેશવલાલ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ અને તેજલબેન નાયીની ટીમ સુનાવણી કરી રહી છે. જ્યારે વોર્ડ 9 થી 16 માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, નૌકાબેન પ્રજાપતિ અને પૂર્વ મેયર ગૌતમભાઈ શાહની ટીમ દાવેદારોને સાંભળી રહી છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ આ પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને લોકશાહી ઢબે પોતાની દાવેદારી રજૂ કરવાનું ખુલ્લું માધ્યમ આપવામાં આવ્યું છે. પક્ષ યુવા રક્ત અને અનુભવી નેતાઓનું સંતુલિત મિશ્રણ જોવા મળે તેવી વિચારણા ધરાવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર પ્રમુખ બીનાબેન કોઠારી સહિત શહેર સંગઠનની આખી ટીમ વ્યવસ્થા જાળવી રહી છે. શિસ્તબદ્ધ રીતે ચાલી રહેલી આ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:25 pm

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:કલેક્ટરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકો જાહેર કરી

રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ભરૂચ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન થશે. જિલ્લામાં તાલુકા પંચાયતોની બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. ભરૂચ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 30 બેઠકો છે. જંબુસર અને ઝઘડીયા તાલુકા પંચાયતમાં 22-22 બેઠકો નક્કી કરાઈ છે. આ ઉપરાંત, વાગરા તાલુકામાં 18, હાંસોટમાં 16, અંકલેશ્વરમાં 26, આમોદમાં 16, વાલીયા અને નેત્રંગ તાલુકામાં 16-16 બેઠકો રહેશે. નગરપાલિકાઓ માટે પણ વોર્ડ અને બેઠકોની વિગતો જાહેર થઈ છે. ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ સાથે કુલ 44 બેઠકો છે. અંકલેશ્વર નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો, જંબુસર નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો અને આમોદ નગરપાલિકામાં 6 વોર્ડમાં 24 બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી માટે ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે કુલ 1134 મતદાન મથકો નક્કી કરાયા છે. જ્યારે ચાર નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકો રહેશે. આમ, જિલ્લામાં કુલ 1353 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં કુલ 8,67,518 મતદારો નોંધાયા છે. જેમાં 4,43,966 પુરુષ, 4,23,533 સ્ત્રી અને અન્ય જાતિના 19 મતદારોનો સમાવેશ થાય છે. ચાર નગરપાલિકાઓમાં કુલ 2,19,004 મતદારો નોંધાયા છે. આ પૈકી 1,10,653 પુરુષ, 1,08,332 સ્ત્રી અને અન્ય જાતિના 19 મતદારો છે. આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત માટે 10 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ અધિકારીઓ ફરજ બજાવશે. તાલુકા પંચાયત માટે 18-18 અધિકારીઓ અને નગરપાલિકા માટે 4-4 ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓ રહેશે. સમગ્ર ચૂંટણી માટે 15 નોડલ અધિકારીઓ અને 7 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત કરાશે. ચૂંટણી જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને પ્રચારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:24 pm

વલસાડના તિથલ કિનારે મૃતદેહ મળ્યો:સુરતના રત્ન કલાકારની ઓળખ, રહસ્યમય મોતની તપાસ

વલસાડના તિથલ દરિયા કિનારે પથ્થરોમાં ફસાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ સુરતના 46 વર્ષીય રત્ન કલાકાર ભરતભાઈ હરજીભાઈ પટેલ તરીકે થઈ છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને ઘટનાસ્થળેથી મૃતદેહ નજીક એક કાળા રંગની ટિફિન બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતા તેમાંથી આધાર કાર્ડની ઝેરોક્ષ અને સુરતથી વલસાડ આવવાની ટ્રેન ટિકિટ મળી હતી. આ દસ્તાવેજોના આધારે પોલીસે મૃતકની ઓળખ સુરતના ભોલા નગર, લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ પટેલ તરીકે કરી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ભરતભાઈ પટેલ સુરતમાં હીરા ઘસવાનો વ્યવસાય કરતા હતા. તેમના પત્ની સાવિત્રીબેને પોલીસને જણાવ્યું કે ભરતભાઈ ગઈકાલે વહેલી સવારે કામ પર જવા નીકળ્યા હતા, પરંતુ ત્યારથી તેઓ ઘરે પરત ફર્યા ન હતા. પરિવારે પોલીસને જણાવ્યું કે ભરતભાઈ ડુંગરી ખાતે રહેતા સંબંધીઓના ઘરે ઓછી અવરજવર કરતા હતા. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હોવાથી, ગઈકાલે મંદિરે દર્શન કરવા આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વલસાડ સિટી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલે મૃતદેહને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃત્યુનું કારણ હજુ અસ્પષ્ટ છે; આ હત્યા છે કે દુર્ઘટના, તે અંગે પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:23 pm

બેફામ AMTSએ બળદગાડાને ઉડાવ્યું, CCTV:રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી, ચાલક ફરાર; વૃદ્ધ અને બળદ ઈજાગ્રસ્ત

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરીઘટના બાદ વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને એએમટીએસ બસમાં ભારે તોડફોડ કરી હતી. લોકોના રોષને જોતા બસચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યોઆ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, બસચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને બસચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:21 pm

જામનગરમાં હનુમાન જયંતિ, બાલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ:વિશેષ મહત્વ, વહેલી સવારથી દર્શનાર્થીઓની કતારો

જામનગરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા રહીને દર્શનનો લાભ લઈ રહ્યા છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ધ્વજારોહણ અને મહાઆરતી સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વર્ષે શનિવાર અને હનુમાન જયંતિનો વિશેષ સંયોગ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અન્ય પ્રસિદ્ધ મંદિરો જેવા કે ચૈતન્ય હનુમાન, સૂર્યમુખી હનુમાન, હઠીલા હનુમાન, દાંડિયા હનુમાન, કષ્ટભંજન દેવ અને બળિયા હનુમાન મંદિરોમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં વિશિષ્ટ આરતી, બટુક ભોજન, દીપમાળા અને અન્નકૂટ દર્શન જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભક્તો ભગવાન હનુમાનજીને તેલ, અડદ અને આંકડાની માળા અર્પણ કરી રહ્યા છે. કેળા, લાડુ અને પેંડા જેવા પ્રસાદ ધરાવી પૂજા-અર્ચના કરી રહ્યા છે. સાંજે મહાઆરતી, બટુક ભોજન અને મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરાયું છે. સમગ્ર હાલાર પંથકમાં હનુમાન જયંતિની આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:20 pm

બોટાદના કાનીયાડ ગામે વાડીમાંથી નવજાત શિશુ મળ્યું:પોલીસે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી, તપાસ શરૂ

બોટાદ જિલ્લાના કાનીયાડ ગામે ઉમરાળા રોડ પર આવેલી એક વાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, વાડીમાં લીલી જુવારના પાક વચ્ચેથી આ નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આ અંગે પાળીયાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક નવજાત શિશુને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડ્યું હતું. હાલ પાળીયાદ પોલીસે નવજાત શિશુને ત્યજી દેનાર માતા-પિતા કોણ છે અને કયા સંજોગોમાં તેને ત્યજી દેવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:17 pm

પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોમાં ભારે રોષ:આરોગ્યમંત્રી પાનસેરિયાની જાહેરાત, રાજ્ય સરકાર આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવશે

સુરતમાં તાજેતરમાં કરોડોની નકલી નોટો છાપવાના કૌભાંડમાં ઝડપાયેલા કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા (પ્રદીપ બાબા) વિરુદ્ધ હવે તબીબી આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોની સારવાર કરતા આ 'ઢોંગી' બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે. શુક્રવારે ડોક્ટરોનું એક મોટું પ્રતિનિધિમંડળ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું હતું. ડિગ્રી વગરની પ્રેક્ટિસ અને લોકોના જીવ સાથે જોખમઆયુર્વેદિક ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે પ્રદીપ બાબા માત્ર સોશિયલ મીડિયા પરથી અધકચરું જ્ઞાન મેળવીને ગંભીર બીમારીઓની સારવાર કરવાનો દાવો કરતો હતો. આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી તે નિર્દોષ નાગરિકોને છેતરતો હતો. ડોક્ટરોના મતે, યોગ્ય શિક્ષણ વગર કરવામાં આવતી આવી 'ઊંટવૈદ્યગીરી' દર્દીઓના સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ માનવ જીવન સાથે રમત છે. આરોગ્ય મંત્રી સમક્ષ કડક કાર્યવાહીની માંગસુરતના ડોક્ટરોએ મંત્રી પ્રફુલ પાનસેરીયાને આવેદનપત્ર પાઠવી માગ કરી છે કે પ્રદીપ બાબા સામે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગભરાય. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવા ઢોંગીઓને કારણે વર્ષો જૂની ભારતની આયુર્વેદિક પરંપરા અને સંસ્કૃતિ બદનામ થાય છે. સરકાર આવા તત્વોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવે તેવી પણ માંગ કરવામાં આવી છે. નકલી નોટથી લઈને સારવારના નામે છેતરપિંડીતપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ બાબા તેના 'સત્યમ યોગ ફાઉન્ડેશન' ના ઓઠા હેઠળ અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતો હતો. નકલી નોટો છાપવાની સાથે સાથે તેણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડવાના ખોટા દાવા કરીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. તેની ધરપકડ બાદ હવે એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે, જેના કારણે પોલીસ તપાસનો વ્યાપ પણ વધી રહ્યો છે. આયુર્વેદિક શિક્ષણ અને સંસ્કૃતિનું રક્ષણ અનિવાર્યઅંતમાં, ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદ એ વિજ્ઞાન છે, જાદુ કે સોશિયલ મીડિયાના નુસખા નથી. વર્ષોની તપસ્યા અને અભ્યાસ બાદ ડોક્ટરો તૈયાર થતા હોય છે, ત્યારે આવા અભણ અને લાલચુ લોકોના કારણે સમગ્ર આયુર્વેદિક જગતની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. સરકારે આયુર્વેદને આવા ઢોંગીઓથી બચાવવા માટે કડક કાયદાકીય અમલવારી કરવી અત્યંત જરૂરી બની છે. ડોક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, આ બાબા તો જે કરે છે એ એકદમ ખોટું જ કરેલું છે. એને કારણે ઘણા લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે અને એને કારણે ઓરિજનલ જે આયુર્વેદ ડોક્ટરો છે, જે સરકાર દ્વારા માન્ય લાયકાત ધરાવે છે એની સામે પણ આજકાલ લોકો પ્રશ્ન કરી રહ્યા છે જે ખૂબ જ ગંભીર વાત છે. રજૂઆત એ છે કે BAMS ડિગ્રી અથવા તો સરકાર દ્વારા માન્ય આયુર્વેદ પ્રેક્ટિસ કરવાને લગતી જે લોકો પાસે ડિગ્રી નથી અને એ લોકો આયુર્વેદિક દવાઓ વેચી રહ્યા છે અને દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, એના વિરુદ્ધ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એ બાબતે અમે અત્યારે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. મુદ્દો એક જ છે કે આયુર્વેદ ડિગ્રી છે એ લોકો જ આયુર્વેદ પ્રેક્ટિસ કરી શકવા જોઈએ. જે લોકો પાસે આયુર્વેદની ડિગ્રી નથી એ લોકો પ્રેક્ટિસ કરી શકવા જોઈએ નહીં એક જ વાત. બાબાઓ સરકારે કરે એટલે આવું તો જાણ અમને ઘણા વર્ષોથી હતી, પણ આ હવે બાબાનું બહાર આવ્યું અને થોડું જોયું એટલે અમને એમ લાગ્યું કે હવે આ સમય યોગ્ય છે કે આપણે આરોગ્ય મંત્રીને રજૂઆત કરીએ અને અમારી અમે વિનંતી કરી છે, પ્રફુલભાઈને કે આના વિરુદ્ધ આવા જે લેભાગુ તત્વો છે જે સુરતમાં, વરાછામાં નાકે-નાકે બેસીને કેન્સર મટાડે છે, ડાયાબિટીસ મટાડવાના દાવા કરે છે, ઓનલાઇન બધી દવાઓ વેચે છે, આવા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. આરોગ્ય મંત્રીએ અમને વિશ્વાસ આપ્યો કે આવા જે લેભાગુ તત્વો છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે લાગુ થઈ જવા જઈ રહ્યો છે, એને કારણે પણ આ વસ્તુમાં ચોક્કસ ફાયદો થશે. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને સતત પગલાં લઈ રહી છે. એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે દરેક ડૉક્ટર, લેબોરેટરી, એક્સ-રે અને સોનોગ્રાફી સેન્ટરોએ ફરજિયાતપણે નોંધણી નંબર લેવો જ પડશે. અમે ગુજરાત સરકારના આ બજેટ સત્રમાં એક્ટમાં સુધારો કરીને આ માટે ચોક્કસ સમયમર્યાદા પણ આપી છે, જેથી બધાને પૂરતી તક મળે. અમારો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ લેભાગુ તત્વો, જેમની પાસે કોઈ માન્ય ડિગ્રી નથી, તેઓ ખાનગી પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે.ઘણીવાર એવું જોવા મળે છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કે અંતરિયાળ ગામડાઓમાં આવા લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. આરોગ્ય વિભાગને જ્યારે પણ આવી ફરિયાદ મળે છે, ત્યારે તાત્કાલિક ધોરણે તેમની સામે કાર્યવાહી કરીને તેમને પકડવામાં આવે છે. આયુર્વેદના નિષ્ણાત ડૉક્ટરો કે MBBS ડૉક્ટરો પાંચથી સાત વર્ષ સુધી સખત અભ્યાસ કરે છે અને પોતાની આખી યુવાની આ જ્ઞાન મેળવવામાં ખર્ચે છે, ત્યારે જ તેઓ માનવ શરીર વિજ્ઞાન વિશે શીખી શકે છે. પરંતુ, હાલમાં જે રીતે સોય ભોંકવા કે અન્ય બાબતોના વિડિયો સામે આવ્યા છે, તેવા કૌભાંડો રોકવા જરૂરી છે. જ્યારે પણ આવી કોઈ ફરિયાદ અમારી પાસે આવશે, અમે ચોક્કસપણે કડક પગલાં લઈશું. દરેક શહેરની અંદર અમારા હેલ્થ વિભાગમાં કમ્પ્લેન થશે તો ચોક્કસ એની ચકાસણી થશે અને અત્યારે આ સમયની અંદર હું લોકોને વિનંતી કરું છું કોઈ અંધશ્રદ્ધાની અંદર ના આવતા. ડિગ્રી પ્રાપ્ત કરેલા કોઈપણ ડોક્ટર પાસેથી જ પોતાની સારવાર કરાવવી જોઈએ, એની પાસેથી જ માર્ગદર્શન મેળવવું જોઈએ, એની પાસે જ ઓપરેશન કરાવવું જોઈએ, એની પાસેથી જ દવા લેવી જોઈએ અથવા તો તપાસ કરાવવી જોઈએ. લોકોને વિનંતી કરું છું કે આવા લેભાગુ તત્વો, દોરાધાગા કરનારા તત્વો, કોઈપણ જગ્યાએ કોઈ ભસ્મ આપે કે પેલું આપે અને આ બાબતમાં પોતાના જીવ જવા સુધીના દાખલાઓ સામે આવ્યા છે. ખાસ કરીને સર્પ કરડવો, સાપ કરડે કે વીંછી કરડે તો એને ઉતારવા લઈ જાય છે, આ પણ ખોટી વાત છે. 108 ને ફોન કરીને એની અંદર ઈન્જેક્શન અને બધી જ વ્યવસ્થા અમે અપ-ટુ-ડેટ રાખી છે કે જે હોસ્પિટલ પહોંચે એ પહેલા પણ એને સારવાર મળી જાય એવી 108ની અંદર પણ સુવિધા પ્રાપ્ત કરેલી છે. તો આવા લેભાગુ ડોક્ટરોથી ચેતીને ડિગ્રી પ્રાપ્ત કરેલા ડોક્ટરો કે ફેમિલી ડોક્ટરો પાસેથી દવા લે અને અમને જ્યાં કમ્પ્લેન મળશે ત્યાં ચોક્કસ પ્રકારે અમે એક્શન લઈશું. આજે આયુર્વેદના ડોક્ટરો બધા જ મિત્રો આ વિસ્તારના મને રજૂઆત કરવા આવ્યા હતા. આ રજૂઆત મેં સાંભળી છે અને એ બાબતમાં સરકાર ગંભીરતા લઈ જ રહી છે અને ગંભીર છે અને એટલા માટે જ અમે સમય વધુ આપ્યો છે રજીસ્ટ્રેશન કરશે અને ખ્યાલ આવી જશે કે રજીસ્ટ્રેશન નંબર વગરની જે સંસ્થા છે એ ડિગ્રી પ્રાપ્ત નથી કરેલી અને એના ઉપર એક્શન લેશું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 1:11 pm

15 પશુને મોતના મુખમાંથી બચાવાયા:નેશનલ હાઈવે પર જાંબુવાબ્રિજ પાસેથી કતલખાને જતી ટ્રક ઝડપાઈ, ડ્રાઈવર-ક્લીનરની ધરપકડ

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવાબ્રિજ પાસે કપુરાઈ પોલીસે એક ટ્રકમાંથી કતલખાને લઈ જવાતા 15 પશુઓને બચાવી લીધા છે. પોલીસે પશુઓની હેરાફેરી કરનાર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે પશુઓ ભરી આપનાર અંકલેશ્વરના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 15 પશુઓને સુરક્ષિત રીતે દરજીપુરા પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. આ કાર્યવાહીમાં ટ્રક અને પશુઓ મળીને કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતીવડોદરા શહેર નજીક પસાર થતા નેશનલ હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પરથી અવારનવાર ગેરકાયદેસર પશુઓની હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે 1 એપ્રિલના રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનના કર્મચારી રાજેશ લખનરાવ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસ કન્ટ્રોલ રૂમ મારફતે માહિતી મળી કે, જાંબુવાબ્રિજ નજીક એક ટ્રકમાં પશુઓ ભરેલા છે. પશુ ભરી આપનાર વોન્ટેડ જાહેરપોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને ટ્રકની તપાસ કરતાં તેમાં 15 પશુઓ ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસે ટ્રકચાલક ઇમરાનખાન કેસરખાન બલોચ (રહે. મહેસાણા) તથા ક્લીનર હૈદરખાનને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન પશુઓ ભરી આપનાર વ્યક્તિ તરીકે અંકલેશ્વરના ગુલામનબી રસુલનું નામ સામે આવ્યું હતું, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પશુઓને પાંજરાપોળ મોકલી અપાયાપોલીસે 15 પશુઓની અંદાજિત કિંમત રૂ. 3 લાખ અને ટ્રકની કિંમત રૂ. 7 લાખ મળીને કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ પશુઓને મુક્ત કરાવી દરજીપુરા પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે મોકલવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 12:54 pm

પાળીયાદમાં ભાગવત કથા પ્રસંગે પુરાણી અને આયોજકનું સન્માન:બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ રજવાડી સાફા-તલવારથી સન્માન કર્યું

બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં રાજવી પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાન જયંતિના પાવન દિવસે બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કથાના પુરાણીજી, આયોજક ખાચર પ્રતાપભાઈ (પાર્ટી) અને ભાણુભા કુલદીપભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સામતભાઈ જેબલીયાએ પુરાણીજી, ખાચર પ્રતાપભાઈ અને ભાણુભા કુલદીપભાઈને રજવાડી સાફા બાંધી, સાફામાં કલંગી લગાડી અને શક્તિ સ્વરૂપે રજવાડી તલવારો અર્પણ કરીને તેમનું રજવાડી ઠાઠથી સન્માન કર્યું હતું. આ સપ્તાહ કથાનું આયોજન પાળીયાદ રાજવી પરિવારના ખાચર પ્રતાપભાઈ (પાર્ટી) દ્વારા પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું. સન્માન કરનાર સામતભાઈ જેબલીયા બોટાદમાં બહુમુખી પ્રતિભા ધરાવે છે અને અનેક સામાજિક, ધાર્મિક તથા રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ શુભ અવસર પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 12:47 pm

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોની લાઈન લાગી:1 થી 6 વોર્ડની સેન્સમાં 450થી વધુ દાવેદારો સામે આવ્યા, 7 થી 13 વોર્ડની આવતીકાલે લેવાશે

મહેસાણા મહાનગરરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર 1 થી 6 માટે 450થી વધુ દાવેદારો સામે આવ્યા છે. જ્યારે બાકી રહેલા 7 થી 13 વોર્ડની આવતીકાલે સેન્સ લેવામાં આવશે. 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવા કવાયતમહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની ૫૨ બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે.ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેના પરિણામે અત્યાર સુધીમાં 450 થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના નિરીક્ષકો દ્વારા આજે પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 6 ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતો લેવામાં આવી હતી. બાકી રહેલા વોર્ડ નંબર 7 થી 13 ના દાવેદારો માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને યાદી સોંપાશેઆ મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય જીજ્ઞાબેન પંડ્યાનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો દરેક વોર્ડના દાવેદારો સાથે રૂબરૂ મુલાકાત કરી સ્થાનિક સમીકરણો અને ઉમેદવારની ક્ષમતા ચકાસી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 12:47 pm

પાટણમાં ભાજપની 'સેન્સ' પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે દાવેદારોને નિરીક્ષકો સાંભળી રહ્યા છે

પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓના દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે ત્રણ સભ્યોની નિરીક્ષક ટીમો દ્વારા બે અલગ-અલગ સ્થળોએ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં પ્રથમ પાટણ તાલુકા ના ઉમેદવાર ના સેન્સ લેવા માં આવી રહ્યા છે. ત્યાર બાદ વારા ફરતી સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી જ કાર્યકરો અને ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે પાટણ, પાટણ તાલુકા, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવી રહ્યા છે આ માટે પક્ષ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે, જેઓ દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે. બીજી તરફ, જિલ્લાના અન્ય તાલુકાઓ માટે રાધનપુર APMC ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નિરીક્ષકો દ્વારા રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ઉમેદવારો તેમજ કાર્યકરોને સાંભળવામાં આવી રહ્યા છે. અનેક કાર્યકરોએ ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા આ અભિપ્રાયો અને રજૂઆતોના આધારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ અહેવાલના આધારે આગામી દિવસોમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. આવતીકાલે, 3 એપ્રિલે, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારોના સેન્સ લેવામાં આવશે. જ્યારે હારીજ ખાતે આવેલી રોહિત કોટન ઇન્ડસ્ટ્રીમાં હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 12:04 pm

કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી:251 કિલો માવાની કેક કાપી, સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા; 1 લાખ લોકો દર્શન કરે તેવી શક્યતા

આજે હનુમાન જયંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ હનુમાનજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. કેમ્પ હનુમાનના મંદિરને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હનુમાન જયંતીની 251 કિલો માવાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડને કારણે મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. 70 હજારથી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવી આશાટ્રસ્ટી મંડળ સભ્ય સરિતભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, જૂના વર્ષોના અનુભવ પરથી આ વર્ષે 70 હજારથી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવી આશા છે. મંદિર સવારે 6 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લું છે. રાત્રે 12થી 12:15 સુધી દર્શન ખુલ્લા રાખવા માટે આર્મીની પરવાનગી લેવામાં આવી છે. સુંદરકાંડ પાઠ, ધજા અને મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયાસવારે 7થી 9 વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. સવારે 10 વાગ્યે શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 11 વાગ્યે ધજા ચડાવવામાં આવી હતી. સવારે 10:30 વાગ્યે શ્રી મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો, જેની પૂર્ણાહુતિ સાંજે 5 વાગ્યે થશે. 251 કિલો બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવશેસાંજે 6:30 વાગ્યે સંધ્યા આરતી થશે. ભોજન અને પ્રસાદનું લગભગ 15 હજાર લોકો માટે ભંડારાનું આયોજન છે. 251 કિલો દૂધના માવાની કેક ધરાવવામાં આવશે. 251 કિલો બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવશે અને ભક્તોને વહેંચવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 11:51 am

હિંમતનગરના રામનગરમાં ત્રિદેવાલય નવદશ પાટોત્સવનો પ્રારંભ:હવન શરૂ, શ્રીફળ હોમ સાથે પૂર્ણાહુતિ થશે; મહાઆરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં રામેશ્વર મંદિરના પરિસરમાં આજે ત્રિદેવાલય નવદશ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આ પાટોત્સવના હવનનો પ્રારંભ થયો હતો. રામનગર સોસાયટી પરિવાર દ્વારા ગુરુવારે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે દુઃખ ભંજન દાદા હનુમાનજી, ચૌદ ભુવનની ભુવનેશ્વરી જગત જનની મા જગદંબા અને શ્રી શનિદેવના ત્રિદેવાલયનો સંયુક્ત નવદશ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પાટોત્સવ હવનનો પ્રારંભ મુખ્ય યજમાન મુકેશભાઈ ઈશ્વરભાઈ પંચાલના હસ્તે થયો હતો. આચાર્ય વિહાર જયંતિલાલ જોશીની ઉપસ્થિતિમાં વૈદિક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, પૂજન-અર્ચન અને આરાધના સાથે હવન શરૂ કરવામાં આવ્યો હતો. બપોરે 12:30 કલાકે શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 11:19 am

ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ:આજે 6 વોર્ડના કાર્યકર્તા દાવેદારી નોંધાવશે, પૂર્વ મેયર ડવ અમદાવાદના નિરીક્ષક હોવાથી તેમનું ફોર્મ પ્રતિનિધિ રજૂ કરશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનો આજે 2 એપ્રિલે બીજો દિવસ છે. આજની સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18 નંબરના કાર્યકર્તાઓ પોતાની દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાના પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ અમદાવાદમાં નિરીક્ષક હોવાથી તેમના વતી વોર્ડ નંબર 12માંથી તેમની દાવેદારી તેમના પ્રતિનિધિ દ્વારા નિરીક્ષક સમક્ષ આપવામાં આવશે. બીજા દિવસે પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાનું શરૂઆજે સવારે 10 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુ પટેલ, જીમેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો. નરેશ દેસાઈ, રાજેન્દ્ર પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળશે. આજે બાકી રહેલા 6 વોર્ડની યાદી મળી કુલ 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. વોર્ડ નંબર 15માં ભાજપ માટે ચેલેંજિંગરાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવી રહેલ સેન્સ પ્રક્રિયામાં ગઈકાલે પ્રથમ દિવસે 656 લોકોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં વોર્ડ નંબર 1માં 73, 2માં 65, 3માં 56, 8માં 52, 4માં 52, 5માં 44, 6માં 57, 7માં 77, 13માં 40, 14માં 70 અને 17માં 45 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 15માં સૌથી ઓછા 25 દાવેદારો નોંધાયા છે અને આ વોર્ડ ભાજપ માટે ચેલેંજિંગ છે, કારણ કે આ વોર્ડમાં ભાજપ આજ દિવસ સુધી જીતી શક્યું નથી. માટે આ વર્ષે આ વોર્ડ જીતવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા પણ શહેર ભાજપને ચેલેન્જ આપવામાં આવી છે. ડો. પ્રદીપ ડવ સહિતનાની ઉમેદવારીબીજા દિવસની સેન્સમાં પૂર્વ મેયર મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવિયા, જીતુ કાટોળીયા, દક્ષાબેન વસાણી, ચેતન સુરેજા, અશ્વિન ભોરણીયા, કંચનબેન સિધ્ધપુરા, રાજેશ્રીબેન ડોડીયા, રણજિત સાગઠીયા, નીરૂભા વાઘેલા અને રૂચિતાબેન જોષી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 11:03 am

રહીશો જાગી જતાં તસ્કરોએ પથ્થરમારો કર્યો, CCTV:રાધનપુર રોડ પર બંધ બંગલામાં ચોરી કરી, અન્ય સોસાયટીમાં ઘૂસવા જતા લોકોની ધોકાવાળી

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી સોસાયટીઓમાં તસ્કરોએ ફરી એકવાર માથું ઉચક્યું છે. તસ્કરોએ એક બંધ બંગલાને નિશાન બનાવી 1.10 લાખની મત્તાની ચોરી કરી હતી. બાદમાં અન્ય એક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરતા જાગી ગયેલા રહીશોએ છુટા દંડાનો ધા કરી તસ્કરને ભગાવ્યો હતો. તો સામેથી તસ્કરોએ રહીશો પર પથ્થરમારો કરતા ભાગવું પડ્યું હતું. જે બાદ તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. વતનમાં ગેયલા પરિવારને ઘરને નિશાન બનાવ્યુંમહેસાણાના રાધનપુર રોડ પર આવેલા તિરૂપતી શુકન બંગ્લોઝમાં રહેતા હર્ષદભાઈ રમેશચંદ્ર પટેલ ગત 31 માર્ચના રોજ સવારે પોતાના મકાનને લોક કરી સહપરિવાર વતન જેતલવાસણા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેડરૂમમાં રહેલા લાકડાના કબાટમાંથી 5 ગ્રામ સોનાની લટકણ, 30 ગ્રામ ચાંદીની બંગડીઓ, 200 ગ્રામ ચાંદીના સિક્કા અને રોકડ રૂ.15 હજાર મળી કુલ રૂ.1,10,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પડોશીએ જાણ કરતા હર્ષદભાઈએ પરત આવી તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું, જે અંગે તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. લોકોએ ભગાડવાનો પ્રયાસ કરતા તસ્કરોએ પથ્થરમારો કર્યોચોરીની આ ઘટનાની એ જ રાત્રે રાધનપુર રોડ પર આવેલા સી લિંક રોડ વિસ્તારની અન્ય એક સોસાયટીમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. મોડીરાત્રે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કરતા રહીશો જાગી ગયા હતા. રહીશોએ પ્રતિકાર કરતા ગભરાયેલા તસ્કરોએ વળતો પથ્થરમારો શરૂ કર્યો હતો. જોકે રહીશોના ભારે વિરોધ અને હિંમત સામે તસ્કરોને ભાગવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 11:01 am

પાટણમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:મંદિરોમાં મારૂતિ યજ્ઞ, છપ્પન ભોગ અને સુંદરકાંડના પાઠ યોજાયા

પાટણ શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરોમાં મારૂતિ યજ્ઞ, સુંદરકાંડ, છપ્પનભોગનો અન્નકૂટ અને સુંદર આંગી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના સુભગ સમન્વયે પાટણના અઘોરી બાવાના અખાડા ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરમાં વિશેષ ઉજવણી કરાઈ રહી છે.અહીં હનુમાન દાદાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પંચમુખી દાદા અને પૂજ્ય નર્મદાગીરી બાપુને સુંદર ફૂલોની આંગી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં સવારથી જ સુંદરકાંડનું આયોજન થયું હતું, જેમાં અમિતાબેન નાયક અને અન્ય કલાકારોએ સંગીતની સુરાવલીઓ સાથે સુંદરકાંડનું પઠન ચાલી રહી છે મોટી સંખ્યામાં ભક્તોએ પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી સુંદરકાંડના પાઠનો લાભ લઈ રહ્યા છે શહેરના અન્ય મંદિરો જેવા કે રંગીલા હનુમાન, ભીડભંજન હનુમાન, છબીલા હનુમાન, બળીયા હનુમાન, કલ્યાણ મારૂતિ હનુમાન, બાલા હનુમાન અને ગુણવંતા હનુમાન સહિતના સ્થળોએ પણ મારૂતિ યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યો છે. આ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વી.કે. ભૂલા સામે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરમાં ગુરુવારે સવારે દાદાની વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. મંદિર પરિવારે દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ વ્યવસ્થા કરી હતી. બપોરે 4 કલાકે મંદિર પરિસરેથી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે બગવાડા દરવાજા, હિંગળાચાચર, જુનાગંજ બજાર અને સુભાષચોક જેવા શહેરના રાજમાર્ગો પર ભ્રમણ કરી પરત મંદિરે પહોંચી હતી. રાત્રે 8 વાગ્યે સુંદરકાંડ પાઠનું જાહેર આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જન્મોત્સવના આ પાવન અવસરે પાટણના રામભક્તો અને શ્રદ્ધાળુઓએ દિવસ દરમિયાન દર્શન અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 10:49 am

પાટણ નગરપાલિકાનો નાગેશ કોર્પોરેશનને 6.83 કરોડ જમા કરાવવા આદેશ:લેગસી વેસ્ટ નિકાલમાં ગેરરીતિ જણાઈ, 15 દિવસમાં નહીં ભરાય તો ફોજદારી કાર્યવાહી

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે માખણીયા વિસ્તારમાં લેગસી વેસ્ટના નિકાલના કોન્ટ્રાક્ટમાં સમય મર્યાદામાં પુણ ન થતાં અને વ્યાપક અનિયમિતતાઓ બદલ કડક કાર્યવાહી કરી છે. તેમણે કોન્ટ્રાક્ટર એજન્સી નાગેશ કોર્પોરેશનને ₹6,83,62,240ની રકમ 15 દિવસમાં નગરપાલિકામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો આ રકમ નિયત સમયમાં જમા કરવામાં નહીં આવે તો એજન્સી સામે ભારતીય દંડ સંહિતા (IPC) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા નાગેશ કોર્પોરેશનને વર્ષ 2023માં 73 ટકા ઊંચા ભાવે કચરાના નિકાલ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ચીફ ઓફિસરની તપાસમાં સામે આવ્યું છે કે, એજન્સીએ 1 માર્ચ, 2025ના રોજ સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી ખોટી રીતે કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. રેકોર્ડ મુજબ, એજન્સીને 20 સપ્ટેમ્બર, 2023ના રોજ વર્ક ઓર્ડર મળ્યો હતો, પરંતુ શરૂઆતના ત્રણ મહિના વીજ કનેક્શન ન હોવાથી અને ત્યારબાદ ચોમાસાના કારણે કામગીરી થઈ ન હતી. નિર્ધારિત સમય સુધીમાં લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો હોવા છતાં એજન્સીએ તે કામગીરી પૂર્ણ કરી ન હતી. નાણાકીય ગણતરી અને મશીનરીની ક્ષમતા અંગેની તપાસમાં મોટો ખુલાસો થયો છે. એજન્સીએ 25 ઓક્ટોબર, 2024 થી 1 માર્ચ, 2025 સુધીના માત્ર 127 દિવસમાં 2.17 લાખ ટન કચરાનો નિકાલ કર્યો હોવાનો દાવો કર્યો છે, જે ઉપલબ્ધ મશીનોની ક્ષમતા જોતાં અશક્ય છે. વાસ્તવિક ગણતરી મુજબ, એજન્સી આ સમયગાળામાં માત્ર 76,200 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ કરી શકતી હતી. આમ છતાં, એજન્સીએ નગરપાલિકા પાસેથી કુલ ₹10,02,27,135 મેળવી લીધા હતા, જેમાંથી વધારાના ચૂકવાયેલા ₹6,32,01,240 પરત ખેંચવા આદેશ કરાયો છે. દંડની વિગતો મુજબ, એજન્સીએ કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ મેળવ્યા પછી પણ 1.40 લાખ ટન કચરો પ્રોસેસ કર્યા વગર રાખી મૂક્યો છે. આ બદલ 1 એપ્રિલ, 2026 સુધીનો પ્રતિદિન ₹1,000 લેખે ₹3,97,000નો દંડ, પ્રોસેસ્ડ વેસ્ટના ટ્રાન્સપોર્ટમાં વિલંબ બદલ પ્રતિદિન ₹10,000 લેખે ₹39,70,000 અને ટેન્ડર બીડની જોગવાઈઓના ભંગ બદલ ₹7,94,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, કુલ ₹6,83,62,240ની રકમ વસૂલવાની નોટિસ ફટકારવામાં આવી છે. ચીફ ઓફિસરે જણાવ્યું છે કે એજન્સીની કામગીરી સંતોષકારક રહી નથી અને સરકારી નાણાંની ગેરરીતિ મામલે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 10:34 am

ગાંધીનગરના રામકથા મેદાન પર જામ્યો ખેલ મહાકુંભ:હર્ષ સંઘવીએ બેટિંગ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો, શહેરમાં 36-GNPL સહિત વિવિધ રમતો રમાશે

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત રમોત્સવ-2026નો ગઈકાલે(1 એપ્રિલ) રાતે સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે પ્રારંભ થયો હતો. આ મલ્ટીસ્પોર્ટ્સ ઇવેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ ભવ્ય રમોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે મેદાનનું વાતાવરણ રમતગમતના ઉત્સાહ અને ખેલદિલીથી ગુંજી ઉઠ્યું હતું. રામકથા મેદાન ખાતે રમોત્સવ-2026નો નાયબ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે રમોત્સવ-2026નો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમનું સૌથી આકર્ષક પાસું નાયબ મુખ્યમંત્રીની સક્રિય ઉપસ્થિતિ રહી હતી. ઉદ્ઘાટન બાદ મેદાન પર રમતની શરૂઆત કરાવતી વખતે નાયબ મુખ્યમંત્રીએ પોતે બેટિંગ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે પ્રોફેશનલ ક્રિકેટરની અદામાં બેટ વડે ફટકા લગાવતા ઉપસ્થિત પ્રેક્ષકો અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ પદાધિકારીઓ ઉપસ્થિતનાયબ મુખ્યમંત્રીની આ ખેલદિલીએ સાબિત કર્યું કે રાજકારણની ધમાલ વચ્ચે પણ રમતગમત પ્રત્યેનો તેમનો લગાવ અતૂટ છે.જેને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. આ રમોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે સહિતના અનેક પદાધિકારીઓ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ચેસ, વોલીબોલ અને દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજનઆ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષે સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરી ઉત્તર ધારાસભ્યને શુભેચ્છા પાઠવી હતી.ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવા પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. રમોત્સવ-2026 અંતર્ગત માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ ચેસ, વોલીબોલ અને દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 36-જીએનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગાંધીનગરના રમતપ્રેમીઓમાં ઉત્સાહઆ મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ આગામી દિવસોમાં ગાંધીનગરના રમતપ્રેમીઓ માટે ઉત્સવ સમાન બની રહેશે. સહાય ફાઉન્ડેશન અને ભાજપના કાર્યકરો દ્વારા મેદાન પર ખેલાડીઓ માટે તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ કરેલી બેટિંગે આ રમોત્સવને યાદગાર બનાવી દીધો છે. જેનાથી શહેરના યુવાનોમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવાની નવી ઉર્જાનો સંચાર થયો છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 10:28 am

નાના અંબાજીમાં ત્રિદિવસીય ચૈત્રી મેળો પૂર્ણ:મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી

સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત નાના અંબાજીના અંબિકા માતાજી મંદિરે ત્રિદિવસીય ચૈત્રી મેળો આજે પૂર્ણ થયો છે. ચૈત્રી પૂનમ નિમિત્તે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ મેળાના સમાપન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. કેટલાક ભક્તોએ માતાજીના શિખર પર ધજા પણ અર્પણ કરી હતી, જે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું હતું. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મંગળવારથી શરૂ થયેલો ત્રિદિવસીય ચૈત્રી પૂનમનો મેળો આજે સમાપ્ત થયો છે. ગુરુવારે ચૈત્રી પૂનમ હોવાથી ભક્તોનો પ્રવાહ વહેલી સવારથી જ મંદિર પરિસરમાં જોવા મળ્યો હતો. સવારે 6 વાગ્યે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો લાભ લઈને પૂનમે કમળ પર સવારી કરતા માતાજીના દર્શન કર્યા હતા અને તેમના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 10:25 am

ધરમપુરમાં એડિશનલ સેશન્સ જ્જના બંધ બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ:તસ્કરોએ પ્રવેશ કરી સામાન વેરવિખેર કર્યો; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ધરમપુરના દશોદ્રી ફળિયા વિસ્તારમાં આવેલા એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિરઝાના બંધ બંગલામાં અજાણ્યા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ બંગલામાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કર્યો હતો, પરંતુ કોઈ કિંમતી ચીજવસ્તુની ચોરી થઈ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે ધરમપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જજ એમ.એ. મિરઝા ગત 28મી માર્ચ, 2026થી રજા પર હોવાથી તેમનો ભાડાનો બંગલો બંધ હતો. આનો લાભ ઉઠાવી તસ્કરોએ બંગલાના પાછળના ભાગે આવેલા ગ્રીલનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. આ બનાવ ૧લી એપ્રિલના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે કોર્ટના પટાવાળા હરેશભાઈ જજનો કોટ લેવા બંગલે પહોંચ્યા હતા. હરેશભાઈએ બંગલાનો પાછળનો દરવાજો ખુલ્લો જોતા તરત જ કોર્ટના રજિસ્ટ્રાર હેમંતભાઈ નટુભાઈ પટેલને જાણ કરી હતી. રજિસ્ટ્રાર અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, બંગલાની નાની ઓરડીમાં મૂકેલો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જજ એમ.એ. મિરઝા સાથે વાતચીત કર્યા બાદ સ્પષ્ટ થયું હતું કે બંગલામાંથી કોઈ પણ પ્રકારની માલમત્તા કે ચીજવસ્તુની ચોરી થઈ નથી. તસ્કરો માત્ર ચોરીના ઈરાદે ઘૂસ્યા હતા, પરંતુ સફળ થયા નહોતા. આ અંગે એડિશનલ સેશન્સ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ નટુભાઈ પટેલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધરમપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 331(3), 331(4), 305(એ) અને 62 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 10:22 am

સુરત સિવિલમાં દુર્લભ હાડકાના ટ્યુમરની સફળ સર્જરી:દર્દીની 5 ક્લાક સર્જરી બાદ તક્લીફ દૂર, ઉધનાના આધેડને નવી જીંદગી મળી

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા આધેડ રેર કેસમાં થતા હાડકાંના ટ્યૂમરના લીધે ચાલવામા તકલીફથી પીડાતા હતા. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના 3 વિભાગના ડોક્ટરની ટીમ દ્વારા ટિબિયા હાડકીના અસરગ્રસ્ત ભાગને દૂર કરીને બન્ને પગની ફિબ્યુલા હાડકીઓનો ઉપયોગ કરીને ટિબિયા હાડકીનું પુનર્નિર્માણ કરી 5 કલાક સુધી સફળ સર્જરી કરી તકલીફ દૂર કરી હતી. અઢી વર્ષમાં દુઃખાવો વધ્યો, રાહત ન મળવા સિવિલમાં લવાયાપ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં રહેતા 49 વર્ષીય જિતેશકુમાર ખાખીવાળાને બાળપણમાં થયેલા ફ્રેક્ચર બાદ છેલ્લા ઘણાસમયથી પગ સહિતના ભાગે અસહ્ય પીડા સાથે જીવન જીવતા હતા. પરંતુ છેલ્લા અઢી મહિનાથી જમણા પગમાં વધતો દુ:ખાવો અને સોજો તેમના માટે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ કઠિન સમય સાબિત થયો હતો. દવાઓ લીધા છતાં કોઈ રાહત ન મળતા તેઓ નિરાશ થઈ ગયા હતા, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં અંદાજે 10 લાખનો ખર્ચ કહ્યોજિતેશકુમારની બાયોપ્સીમાં એડામેન્ટિનો જેવા દુર્લભ એટલે કે રેર કેસમાં હાડકાના ટ્યુમરનું નિદાન થયું હતું. આ સાંભળીને તેના પરિવાર ચોકી ગયા હતા. તેમના પરિવારજનો ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખર્ચ પૂછવા ગયા હતા. ત્યાં તેમને અંદાજે 5થી 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ ખર્ચ થશે એવુ કહ્યુ હતું, પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી આખરે થોડા સમય પહેલા નવી સિવિલમાં પ્લાસ્ટીક સર્જર ડો. નિલેશ કાછડીયા, ઓર્થો. ઓન્કો. ડો. રાહુલ પરમાર સહિતના ડોકટરોની ટીમ દ્વારા દર્દી ચાર-પાંચ કલાક સુધી સર્જરી કરી હતી. મને ફરીથી ચાલવાની આશા છેઃ દર્દીસર્જરી દરમિયાન ટિબિયા હાડકીના અસરગ્રસ્ત ભાગને દૂર કરીને બન્ને પગની ફિબ્યુલા હાડકાઓનો ઉપયોગ કરીને ટિબિયા હાડકાનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અત્યંત જટિલ અને નિષ્ણાતતા માગતી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે જણાવ્યું કે દર્દીએ કહ્યુ કે મારો પગ બચશે નહીં એવુ લાગ્યુ હતું. પણ સફળ સર્જરી થતા મને ફરીથી ચાલવાની આશા છે. ઓપરેશન અને સારવાર વિના મુલ્યે થતા મારા લાખો રૂપિયા બચી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 10:09 am

મગરનું રેસ્ક્યુ ઓપરેશન, VIDEO:વડોદરાના વિરોદ ગામમાં 5.5 ફૂટનો મગર ઘૂસી આવ્યો, ભારે જહેમત રેસ્ક્યુ કરાયો, વન વિભાગને સોંપાયો

વડોદરા જિલ્લાના દેણા ચોકડી નજીક આવેલ વિરોદ ગામમાંથી 5.5 ફૂટનો મગર જોવા મળ્યો હતો. જેને પગલે સ્થળ પર પહોંચીને ભારે જહેમત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના દેણા ચોકડી નજીક આવેલ વિરોદ ગામમાંથી રાત્રિના આશરે 11:30 વાગ્યે હેલ્પલાઇન નંબર પર મગર દેખાવાની માહિતી મળી હતી. સિદ્ધાર્થ અમિને આ અંગે યશ તડવીને જાણ કરી હતી. જેને પગલે વિશાલ પટેલ, રોહન વસાવા, આયુષ મિશ્રા અને વરૂણ દીક્ષિત તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી તપાસ કરતા આશરે 5.5 ફૂટનો મગર ખેતર નજીક એક ઘર પાસે આવી ગયો હોવાનું જણાયું હતું. ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિન પટેલને જાણ કરવામાં આવી હતી. ગામલોકોના સહકારથી મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 9:59 am

સોલામાં શિવકથાનો પ્રારંભ:ભાડજ સુપર સિટીથી પોથીયાત્રા કાઢવામાં આવી

અમદાવાદના સોલા ખાતે શિવકથાનો પ્રારંભ થયો છે. સાયન્સ સિટી રોડ પર સિમ્સ હોસ્પિટલ સામે આવેલા એએમસી મેદાનમાં 1 એપ્રિલ, 2026થી 9 એપ્રિલ, 2026સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે ભાડજ સુપર સિટીથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પટેલ પરેશભાઈ અમૃતલાલ કુંડાળવાળાના નિવાસસ્થાનથી શરૂ થઈ હતી. આ પ્રસંગે નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટા બાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આ શિવકથાનું આયોજન કરાયું છે. વ્યાસપીઠ પર લંકેશબાપુ બિરાજમાન થઈ શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા દરરોજ રાત્રે8:00 થી 11:00 વાગ્યા સુધી યોજાય છે. તેમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના શિવભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. સભામંડપમાં ભક્તો માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, વિશિષ્ટ મહાનુભાવો અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 9:35 am

ગીર સોમનાથમાં જુગારીઓ પર પોલીસની તવાઈ:કોડીનારમાં એક જ રાત્રે બે દરોડા: યુનિયન બેન્ક નજીક તેમજ માર્કેટયાર્ડ પાછળથી ₹29,530 સાથે 10 આરોપી ઝડપાયા

કોડીનાર પોલીસે એક જ રાત્રિમાં બે સ્થળોએ દરોડા પાડી ₹29,530 રોકડ સાથે 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ દરોડો કોડીનાર ટાઉન વિસ્તારમાં યુનિયન બેંક પાછળ પાડવામાં આવ્યો હતો. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹16,410 રોકડા અને 52 ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. બીજા દરોડામાં, માર્કેટિંગ યાર્ડ નજીકથી જાહેરમાં જુગાર રમતા અન્ય પાંચ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી ₹13,120 રોકડા અને 52 ગંજીપાના કબજે કરાયા હતા. બંને દરોડાના સંદર્ભમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. તમામ 10 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા 10 આરોપીઓમાં કોડીનારના વિવિધ વિસ્તારોના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસે તેમની ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જુગાર, દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 9:33 am

પાંડેસરામાં 27 વર્ષ પહેલાં થયેલી હત્યાનો આરોપી બિહારથી ઝડપાયો:ખેત મજૂરી કરી પોલીસને થાપ આપતો હતો, ટેકનિકલ સર્વેલન્સ-બાતમીદારોની મદદથી બિહારમાં ઓપરેશન

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 1999માં થયેલી એક હત્યાના કેસમાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 27 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખી નાસતા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાજેશ્વર ઉર્ફે ગોરેલાલ કાળુ યાદવને ઝોન-4ની પોલીસ ટીમે બિહારના નાલંદા જિલ્લામાંથી દબોચી લીધો છે. મશીન બાબતે થયેલી સામાન્ય અદાવતમાં આરોપીએ તેના સાથીદારો સાથે મળીને એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. વર્ષ 1999માં મશીન બાબતે થઈ હતી હત્યાઘટનાની વિગત મુજબ, 29 નવેમ્બર 1999ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જય મહાદેવ નગરથી અપેક્ષા નગર જવાના કાચા રસ્તા પર લોહીયાળ ખેલ ખેલાયો હતો. આરોપી રાજેશ યાદવ અને તેના સહ-આરોપીઓએ ઇન્દ્રદેવ નામના વ્યક્તિ સાથે મશીન બાબતે જૂની અદાવત રાખી હતી. આ અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ ઇન્દ્રદેવ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઇન્દ્રદેવની આંખ, નાક, છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કોર્ટે વોરન્ટ ઇસ્યુ કર્યું પણ આરોપી હાથ નહોતો આવતોહત્યાના આ ગુનામાં પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, પરંતુ મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે ગોરેલાલ પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તે બિહારના નાલંદા જિલ્લાના બિંદ ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. જોકે, પોલીસ જ્યારે પણ તપાસ માટે જતી ત્યારે તે મળી આવતો નહોતો. આખરે નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ CRPC કલમ-70 મુજબ પકડ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસની અનેક કોશિશ છતાં આરોપી વર્ષો સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બિહારમાં ઓપરેશનસુરત ઝોન-4ની ટીમને તાજેતરમાં બાતમી મળી હતી કે નાસતો ફરતો આરોપી રાજેશ બિહારના નાલંદા જિલ્લાના ટીકુલીપર વિસ્તારમાં છુપાઈને રહી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે PSI બી.ડી. પટેલ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ કનુભા અને શક્તિસિંહ ગોવિંદસિંહની એક ટીમ ખાસ બિહાર રવાના કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી પોતાની ઓળખ છુપાવીને ત્યાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો જેથી કોઈને તેના પર શંકા ન જાય. 27 વર્ષે ગુનો કબૂલ્યોબિહારમાં ઓપરેશન પાર પાડી પોલીસ ટીમે 48 વર્ષીય રાજેશ ઉર્ફે રાજેશ્વર યાદવને તેના વતનમાંથી ઝડપી પાડ્યો હતો. સુરત લાવ્યા બાદ તેની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે 27 વર્ષ પહેલાં પાંડેસરામાં કરેલી હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું હતું કે હત્યા કર્યા બાદ તે સીધો બિહાર ભાગી ગયો હતો અને ત્યાં ખેતીકામમાં જોડાઈ ગયો હતો જેથી ક્યારેય પકડાય નહીં.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 9:33 am

બંગાળમાં ભાજપનો 'સુરત પ્લાન':મમતાના ગઢમાં ગાબડું પાડવા સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, 5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ વર્કર્સ બનશે ભાજપના 'ગેમ ચેન્જર'સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ મોટો વોટબેંક ધરાવે છે. ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. સંપૂર્ણ મફત મુસાફરી, તમામ ખર્ચ ભાજપ કાર્યાલય ઉઠાવશેચૂંટણીના તબક્કાઓને ધ્યાનમાં રાખીને ટ્રેનનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે આ કામગીરી ચાલી રહી છે. સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા ટ્રેન સુવિધા એકદમ 'ફ્રી ઓફ કોસ્ટ' રાખવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમના માટે આ એક સુવર્ણ તક છે. ભાજપ આ માધ્યમથી એ સાબિત કરવા માગે છે કે, તેઓ કાર્યકરો અને મતદારોની પડખે ઉભા છે. 1500 જેટલા મતદારોના ફોર્મ રદઆ સુવિધાનો લાભ માત્ર જે-તે વિસ્તારના સાચા અને નોંધાયેલા મતદારોને જ મળે તે માટે સુરત બંગાળી સમાજ દ્વારા કડક તપાસ કરવામાં આવી છે. વાસુદેવ અધિકારીના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. જેમના વોટિંગ કાર્ડ અપડેટ નહોતા અથવા જેમના નામ મતદાર યાદીમાં નહોતા, તેવા અંદાજે 1200થી 1500 ફોર્મ રદ SIRના કારણે કરવામાં આવ્યા છે. ટાર્ગેટ 10 લાખ મતોનો, પરિવાર સાથેના જોડાણ પર નજરજોકે, સુરતમાં 2.5 લાખ બંગાળીઓ છે, પરંતુ ભાજપનું માનવું છે કે જો પરિવહન સુવિધા વધુ મોટી હોત તો તેઓ 2 લાખ લોકોને પણ મોકલી શક્યા હોત. આ 5000 મતદારો માત્ર આંકડો નથી, પણ એક મોટું નેટવર્ક છે. આ લોકો જ્યારે પોતાના ગામ જશે ત્યારે તેમના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફ વાળશે. ભાજપનો અંદાજ છે કે, આ મુસાફરો દ્વારા તેઓ બંગાળમાં અંદાજે 10થી 12 લાખ મતો પર સીધી કે આડકતરી અસર પાડી શકશે. બંગાળી સમાજની સક્રિયતા, પરિવર્તન માટે કમર કસીસુરત બંગાળી સમાજના સંગઠનો અત્યારે રાત-દિવસ કાર્યરત છે. સમાજના અગ્રણીઓનું કહેવું છે કે, બંગાળમાં વર્ષોથી જે સ્થિતિ છે તેમાં હવે પરિવર્તન જરૂરી છે. સુરતમાં રહીને જે રીતે બંગાળીઓએ પ્રગતિ કરી છે, તેવી જ પ્રગતિ બંગાળમાં પણ થાય તેવો તેમનો ઉદ્દેશ્ય છે. આ માટે ભાજપ કાર્યાલય સાથે સંકલન કરીને યાદીઓ તૈયાર કરવામાં આવી છે અને દરેક મતદારને ટ્રેનની ટિકિટ અને અન્ય સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સમર વેકેશન અને ચૂંટણીનો મેળ બેસાડાયોઅત્યારે ઉનાળાના વેકેશનનો સમય હોવાથી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. સામાન્ય રીતે આ સમયે ટિકિટ કન્ફર્મ મળવી અશક્ય હોય છે. ભાજપની આ વ્યૂહરચનાએ શ્રમિકોની વતન જવાની ઈચ્છા અને પક્ષની મત મેળવવાની જરૂરિયાત બંનેને એકસાથે સાંકળી લીધી છે. જે કારીગરો મોંઘી ટિકિટના કારણે જઈ શકતા નહોતા, તેઓ હવે 'ફ્રી ટ્રેન'ની સુવિધા મળતા ઉત્સાહમાં છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 9:30 am

અમરેલીમાં ભુરખિયા હનુમાન મંદિરે હજારો ભક્તો પગપાળા પહોંચ્યા:SP સહિત પોલીસ પરિવારે પણ પદયાત્રા કરી દર્શન કર્યા

હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાન મંદિરે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મોડી રાતથી આખી રાત સુધી અમરેલી સહિત આસપાસના જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભુરખિયા હનુમાન મંદિર અમરેલી અને આસપાસના વિસ્તારો માટે આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે, ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અમરેલીથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા આ મંદિરે પગપાળા યાત્રા કરે છે. આખી રાત પદયાત્રીઓનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. પદયાત્રીઓની સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીવાના પાણી, ઠંડા પીણાં અને નાસ્તા સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. રાજ્ય કક્ષાના ઉર્જા અને કાયદા વિભાગના પ્રધાન કૌશિક વેકરિયાએ પણ વિવિધ સ્ટોલ અને મંડપની મુલાકાત લઈ સેવાભાવીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પદયાત્રામાં અમરેલી જિલ્લા પોલીસ પરિવાર પણ જોડાયો હતો. અમરેલીના SP સંજય ખરાત અને DYSP ચિરાગ દેસાઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે પગપાળા ચાલીને ભુરખિયા હનુમાન મંદિરે પહોંચ્યા હતા. તેમણે હનુમાનદાદાને શીશ નમાવી દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં ભજન, કીર્તન અને ડાયરાની રમઝટ જામી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરની અંદર દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 9:14 am

નારણપુરામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમ:વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ મુજબ ઉજવણી

કર્ણાવતી મહાનગરના ભાગવત વિભાગ અંતર્ગત નારણપુરા જિલ્લાના વાડજ પ્રખંડમાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ મુજબ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં નારણપુરા જિલ્લાના સહ-સંયોજિકા ભાવનાબેને વક્તા તરીકે ઉપસ્થિત રહી હતી. તેમણે કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા જેવા વિષયોને ભગવાન રામચંદ્રના જીવન ચરિત્ર સાથે જોડીને વર્ણવ્યા હતા. આ પ્રસંગે માતૃશક્તિ વિશ્વ હિન્દુ પરિષદ, નારણપુરાના જિલ્લા સંયોજિકા હેતલબેન પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન રંજનબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા તેમજ પ્રખંડની અન્ય જવાબદાર માતૃશક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી. કાર્યક્રમનો સમાપન થાળ આરતી અને જયઘોષ સાથે કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 8:56 am