SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:લવમેરેજ બાદ માવતરે સંબંધ તોડી નાખતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક આવેલી આસ્થા વેન્ટિલા સોસાયટીમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ પ્રેમલગ્ન બાદ માવતર તરફથી તિરસ્કાર મળતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ઉષાબેન રવિભાઈ મહેતા (ઉ.વ. 36)એ પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિણીતાના પતિ રવિભાઈએ જણાવ્યું હતું કે, ઉષાબેને દોઢ વર્ષ પહેલા પ્રથમ પતિ સાથે ડિવોર્સ લઈને તેમના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ થતા પિયર પક્ષે તેમના સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. માવતર તરફથી બોલાવા ન મળતા ઉષાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને ડિપ્રેશનમાં રહેતા હતા. જેથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:54 am

કરુણ ઘટના સામે આવી:‘બેટા, હું તને લેવા આવ્યો છું…’ કાકાના સ્વપ્ન બાદ એસિડ પી યુવાનનો આપઘાત

રાજકોટ શહેરમાં માનસિક તણાવની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં કાકાના સ્વપ્નથી ભાવનાત્મક રીતે હચમચી ગયેલા એક યુવાને એસિડ પી આત્મઘાતી પગલું ભરતાં બે મહિનાની લાંબી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવની મળતી માહિતી મુજબ, શહેરના લાલા લજપતરાય ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ઝડુસ હોટલ નજીક નિવાસ કરતા કેવલ કમલેશભાઈ સુરાણી(ઉ.વ. 25)એ ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની ગંભીર હાલતમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. લાંબી સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, શુક્રવારે અચાનક તેમની તબિયત ફરી લથડતા પરિવારજનો તેમને ફરી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ તાલુકા પોલીસ મથકના એએસઆઈ ડી.સી. જોષીને જણાવ્યું હતું કે, મૃતક કેવલ બે ભાઈઓમાં મોટો હતો અને સલૂનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે સહારો આપતો હતો. ચાર વર્ષ પહેલાં તેના પ્રિય કાકાનું અવસાન થયું હતું, જેના કારણે તે અંદરથી તૂટ્યો હતો. ઘટનાથી થોડા દિવસો પહેલાં તેને સ્વપ્ન આવ્યું હતું, જેમાં તેના કાકા તેને કહી રહ્યા હતા— “બેટા, હું તને લેવા આવ્યો છું…”. આ સ્વપ્ન બાદ કેવલ વધુ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો અને અંતે આઘાતમાં આવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:54 am

ભાસ્કર એક્સક્લુસિવ:APAAR ID હજુ 80% બન્યા, બાકી 20% માટે શાળાઓમાં કેમ્પ, જુન-26 સુધી 100%નો લક્ષ્યાંક

શિક્ષણ વિભાગે હવે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ડેટાને ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષિત કરવા માટે ‘APAAR ID’ (ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી) બનાવવાની કામગીરીને ‘સેચ્યુરેશન મોડ’ પર મૂકી છે. સમગ્ર ગુજરાતમાં આશરે 70થી 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં રાજકોટ જિલ્લામાં 90 ટકા જેટલી કામગીરી થઇ છે. જોકે, હજુ પણ અનેક વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં વિસંગતતા હોવાથી કામગીરી અટકી છે, જેને પૂર્ણ કરવા માટે તંત્રએ 30 જૂન, 2026ની ડેડલાઈન નક્કી કરી છે. રાજ્યમાં 80% જેટલા વિદ્યાર્થીના APAAR ID બન્યા છે, બાકીના 20% માટે શાળાઓમાં દર શનિવારે કેમ્પ રાખવા શિક્ષણ વિભાગે સુચના આપી છે. જૂન-26 સુધી 100%નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની મોટાભાગની શાળાઓમાં ડેટા વેરિફિકેશન અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવા માટે દર શનિવારે શાળાઓમાં ખાસ ‘સેચ્યુરેશન કેમ્પ’નું આયોજન કરવા સુચના આપવામાં આવી છે. મુખ્ય સમસ્યા એ સામે આવી રહી છે કે ઘણા વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામ કે જન્મતારીખ સ્કૂલ રેકોર્ડ સાથે મેચ થતા નથી અથવા આધાર સાથે મોબાઈલ નંબર લિંક નથી. આ ટેકનિકલ ખામીઓને કારણે ID જનરેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. કામગીરી અટકવાના કારણો | ડેટા મિસમેચ, એરર સહિતના કારણો જવાબદાર નુકસાન | એડમિશન, પરિણામ, શિષ્યવૃત્તિ પર અસર, યોજનાથી વંચિત રહી જવાની ભીતિ APAAR ID સરળતાથી બને તે માટે વાલીઓએ આટલું ધ્યાન રાખવું જોઇએ

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:51 am

ગરમીથી ત્રાહીમામ:રાજકોટમાં આકરી ગરમી, 15 દી’માં 30ને હિટસ્ટ્રોકની અસર

એપ્રિલ ની શરૂઆત થતા ગરમી નો પારો દિવસે દિવસે વધવા લાગ્યો છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા 15 દિવસ માં 30 વ્યક્તિ ને હીટવેવની અસર હેઠળ સારવાર અપાઈ છે. સિવિલ હોસ્પિટલમાં હીટવેવને લઈને ખાસ વોર્ડ તૈયાર કરાયો છે જો કે તેમાં હજુ સુધી એકપણ કેસ આવ્યો નથી તેવુ અધિક્ષક જણાવે છે. 108ના આકડા પર નજર કરીએ તો રાજકોટમાં છેલ્લા 15 દિવસ માં હીટવેવની અસર હેઠળ અલગ અલગ ઇમરજન્સી સબબ 30 વ્યક્તિને સારવાર ખસેડવામાં આવ્યા છે ભારે ગરમીના કારણે 25 ને તાવ તથા બે વ્યક્તિ ને ઝાડા ઉલટી અને ત્રણ વ્યક્તિ બેભાન થયાના બનાવ સામે આવ્યા છે. શુક્રવારે રાજકોટનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું. હીટવેવના કારણે આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી લોકોને ગરમી સામે રક્ષણ મેળવવા અંગે માહિતી અને સાવચેતી રાખવાની સૂચના અને ઇમરજન્સી માં નજીકના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવાં અનુરોધ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં હજુ એક મહિનો આકરી ગરમી પડશે. આ દરમિયાન ક્યારેક પારો 42 ડિગ્રી કરતા પણ વધી જાય તેવી શક્યતા છે. આવી આકરી ગરમીમાં ખાસ કરીને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ જ કારણે રાજકોટ શહેરમાં બપોરે 1થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલ પણ બંધ રખાયા છે જેથી તડકામાં વાહન ચાલકોને ઉભા રહેવુ ન પડે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:48 am

મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા:58ની ઉંમરે શરમ વેચી ખાધી! 19 વર્ષની યુવતી સાથે જાહેરમાં અશ્લીલ હરકત કરી

રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે. મવડી મેઇન રોડ પર 19 વર્ષની યુવતી સાથે 58 વર્ષના શખ્સે જાહેરમાં એવી શરમજનક હરકત કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉંમરના આ પડાવે સંસ્કારનું પાલન કરવાને બદલે આ શખ્સે ‘રોમિયોગીરી’ કરી પોતાની જ ઉંમરને કલંકિત કરી છે. મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી કામસ્થળે તબિયત બગડતા ઘરે જવા નીકળી હતી. તેણે પોતાની માતાને ફોન કરીને બોલાવ્યા બાદ મહાકાળી માતાજીના મંદિર સામે એક્ટીવા પાર્ક કરી રાહ જોઈ રહી હતી. ત્યારે મવડી ચોકડી તરફથી લાલ રંગની પ્લેઝર મોપેડ પર આવેલ એક અજાણ્યો વૃદ્ધ ત્યાં આવી ઊભો રહ્યો. થોડી જ વારમાં આ શખ્સે તમામ હદો વટાવી દીધી. અચાનક યુવતીની એક્ટીવા પર પાછળ બેસી જઈ તેણે શારીરિક અડપલા શરૂ કર્યા અને તેની છાતી પર હાથ ફેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો. આ અચાનક ઘટનાથી ગભરાયેલી યુવતીએ તરત જ નીચે ઉતરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. લોકો ભેગા થતા ‘વૃદ્ધ રોમિયો’ ની હકીકત બહાર આવી ગઈ. એટલામાં યુવતીની માતા પણ પહોંચી ગઈ અને 181 પર કોલ કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે આરોપીને કાબૂમાં લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી. પકડાયેલ આરોપી મવડી મેઈન રોડ ઉદયનગર શેરી નં.2/6ના ખૂણે રહે છે. તેનું નામ પંકજ મનસુખભાઈ પાટડીયા(ઉ.વ.58) હોવાનું સામે આવ્યું છે. ઉંમરનાં આ પડાવે આવી નીચ હરકતો કરનાર આરોપીને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:47 am

સિટી એન્કર:સાસરિયાના ત્રાસથી પરિણીતાના ગર્ભમાં જ બાળકનું મોત થયું, પતિએ ચરિત્ર પર શંકા કરી ડીએનએ ટેસ્ટ કરાવ્યો!

રાજકોટ શહેરમાં ઘરેલુ હિંસા અને ત્રાસનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સાસરિયાના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી 32 વર્ષીય પરણીતાએ ગર્ભમાં રહેલા બાળકને ગુમાવ્યું હોવાનો આક્ષેપ સાથે પતિ સહિતના સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી પિતૃત્વ સાબિત કરવા DNA ટેસ્ટ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવમાં, ન્યૂ જાગનાથ વિસ્તારમાં રહેતી વિશાખાબેન નીરવભાઈ માઘવાણી(ઉં.વ.32)એ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2025માં નીરવ માઘવાણી સાથે થયા હતા. લગ્નના શરૂઆતના એક મહિના સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ ત્યારબાદ પતિ દ્વારા નાની બાબતોમાં ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા. પતિ દારૂ પીને ઘરે આવતો અને ગાળાગાળી કરતો હતો. સાથે જ પત્ની પર શંકા કરીને મોબાઈલ વાપરવા અને પિયર પક્ષ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાંઆવ્યો હતો. પીડિતાના આક્ષેપ મુજબ, સાસુ ભાવનાબેન દ્વારા વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને એક પ્રસંગે રસોઈ કરતી વખતે તેમનો હાથ દઝાડવામાં આવ્યો હતો. સાસરિયાઓ દ્વારા પિયરેથી પૈસા લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. નણંદ દ્વારા ઘરકામ બાબતે સતત ટિપ્પણીઓ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વિવાદ વધતા 10 ઓગસ્ટ 2025ના રોજ પરણીતાએ 181 અભયમ હેલ્પલાઈન બોલાવવી પડી હતી. તે સમયે તે ગર્ભવતી હતી, પરંતુ સતત તણાવ અને ઝઘડાના કારણે ગર્ભમાં બાળકના ધબકારા અસામાન્ય બન્યા હતા. અંતે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થતાં ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ, પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી DNA ટેસ્ટ પણ કરાવ્યો હોવાનો આક્ષેપ છે. હાલ પરણીતા પોતાના પિયરમાં રહે છે અને ન્યાય માટે પોલીસનો સહારો લીધો છે. પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:47 am

આપઘાત:બી. જે. મેડિકલની વિદ્યાર્થિનીનો આપઘાત

બી. જે. મેડિકલ કૉલેજમાં જૂનાગઢના કેશોદ પાસેના ગામની વિદ્યાર્થિની જીઆ ડાકીએ ગત સોમવારે હોસ્ટેલમાં પંખા સાથે દુપટ્ઠો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. મહત્ત્વનું છે કે તેણે બપોરના 3.45 વાગ્યા સુધી મિત્રોને મેસેજ કર્યા હતા અને પછી અચાનક આત્મહત્યા કરી હતી. બી. જે. મેડિકલ કૉલેજના ડીન અને સિવિલના માનસિક રોગ વિભાગના વડા ડૉ. મિનાક્ષીબહેન પરીખના કહેવા પ્રમાણે જીઆ ગામથી આવ્યા પછી એકલતા અનુભવતી હતી. બે મહિના સુધી તે ગુમસુમ રહેતી હોવાથી સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં પણ આવી હતી. અહીં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું, તે ફોલોઅપમાં પણ આવી હતી. પરંતુ એક-દોઢ મહિનાથી સારું હોવાનું કહીને કાઉન્સેલિંગ માટે આવતી નહોતી. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પણ એકલતાનું કારણ જણાવાયું છે. ઘરથી દૂર આવનારા વિદ્યાર્થીઓ એકલતા, તણાવ કે અન્ય કોઇ સમસ્યામાં ન સપડાય ચે માટે સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર બનાવાયું છે, વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે હૉસ્પિટલ કે કૉલેજમાં કામનું ભારણ હવે પહેલાં જેટલું નથી. મોટે ભાગે કામનું ભારણ રેસિડન્સશિપમાં વધુ રહે છે જ્યારે જીઆ અંડર ગ્રેજ્યુએટ હોવાથી કામના ભારણ કરતાં એકલતાને કારણે પગલું ભર્યાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:40 am

ભાસ્કર એક્સક્લુસિવ:ગૂજરાત વિદ્યાપીઠના 30 હજાર સભ્ય ઘેરબેઠાં પુસ્તક મેળવી શકશે

ગૂજરાત વિદ્યાપીઠે ગાંધીજીની વિચારધારાના પ્રસાર-પ્રસાર માટે જાહેર પુસ્તકાલય થકી પહેલ કરી છે. પુસ્તકાલયના 30 હજાર સભ્ય ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ www.gujaratvidyapith.org પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠાં પુસ્તકો મેળવી શકશે. વિદ્યાપીઠની સ્થાપનાથી, 105 વર્ષથી પબ્લિક લાઈબ્રેરી કાર્યરત છે. તેમાં 3 લાખ જેટલાં પુસ્તક છે. ગૂજરાત વિદ્યાપીઠમાં જનરલ સ્ટડીઝ, ફિલોસોફી, ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, સ્પેસ સાયન્સ, ફાઈન આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લૉ, એજ્યુકેશન સહિતનાં 3 લાખ જેટલાં પુસ્તકો ઉપલબ્ધ છે.આ પુસ્તકોનો લાભ આશરે 30 હજાર જેટલા સભ્યો ઘણાં વર્ષોથી લઈ રહ્યા છે. આ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે ! સભ્યોને પુસ્તકાલયમાં આવવાની જરૂર નહીં રહેગૂજરાત વિદ્યાપીઠના કાયમી સભ્યો ઘણાં વર્ષોથી લાઈબ્રેરીમાં રૂબરૂ આવીને પોતાને મનગમતા પુસ્તકો પસંદ કરીને પોતાના ઘરે લઈ જતા હોય છે. અમારી લાઇબ્રેરીના સભ્યોને પ્રત્યક્ષ આવવાના સ્થાને વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની તક મળી રહે તે માટે કુલનાયક હર્ષદ પટેલના દિશાનિર્દેશ અનુસાર આ ઉપક્રમ ગત નવેમ્બરથી હાથ ધરવામાં આવ્યો છે. જો કે હજી વધુ ને વધુ લોકોને જાણકારી નથી. વધુ ને વધુ સભ્યો આની જાણકારી મેળવે તે આવશ્યક બાબત છે. વધુ ને વધુ લોકો આનો લાભ મેળવે તે આવશ્યક બાબત છે.’ > રંજન મકવાણા, ડેપ્યુટી લાઈબ્રેરિયન, ગૂજરાત વિદ્યાપીઠ

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:37 am

બ્લૂમબર્ગ રિપોર્ટ:5 વર્ષમાં 5 વખત બદલાઇ એશિયાના અમીરની ખુરશી

5 વર્ષમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિની ખુરશી 5 વખત બદલાઇ છે. બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણી એકવાર ફરી મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણી 8.59 લાખ કરોડ સાથે 19મા અને મુકેશ અંબાણી 8.42 લાખ કરોડની સંપત્તિ સાથે 20મા ક્રમે છે. યાદીમાં 6 ગુજરાતી સહિત 23 ભારતીય અબજપતિ સામેલ છે. તેમની કુલ સંપત્તિ 51 લાખ કરોડ છે, જે ભારત સરકારના 2026-27ના બજેટ 52 લાખ કરોડ જેટલી છે. ગૌતમ અદાણી (2026) મુકેશ અંબાણી એશિયામાં નંબર 1- કોણ ક્યારે? દેવા, શેરના ભાવમાં વધઘટથી ફેરફાર થતો રહ્યો ઇલોન મસ્ક વિશ્વમાં સૌથી ધનિક, ગૂગલના લેરી પેજ બીજા ક્રમે ટોપ-10 પાસે 240 લાખ કરોડ, 500 ધનિકોની સંપત્તિના 24% 6 ગુજરાતીની સંપત્તિ 21 લાખ કરોડ રાજ્યના 16 વર્ષના કુલ બજેટથી વધુબ્લૂમબર્ગની યાદીમાં અદાણી-અંબાણી સહિત 6 ગુજરાતી સામેલ છે. તેમની કુલ સંપત્તિ 21 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે 2010-11થી 2026-27 દરિયાન 16 વર્ષમાં રાજ્ય સરકારનું કુલ બજેટ 20 લાખ કરોડ થાય છે. દિલીપ સંઘવી 2.23 લાખ કરોડ સાથે 107મા ક્રમે, સમીર મહેતા 80 હજાર કરોડ સાથ 433, પંકજ પટેલ 77 હજાર કરોડ સાથ 447 અને સુધીર મહેતા 76 હજાર કરોડ સાથે 456મા ક્રમે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:34 am

આયુર્વેદિક ડોક્ટરોને એલોપેથી દવા લખવાની છૂટ મળશે?:આયુર્વેદ ડૉક્ટરોને એલોપેથી દવા લખવા મુદ્દે કરાયેલી રિટને નેશનલ કમિશનનો ટેકો

આયુર્વેદિક ડૉક્ટરોને એલોપેથી દવાઓ લખવાની મંજૂરી આપવા મુદ્દે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયામાં વળાંક આવ્યો છે. હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીને નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિને ટેકો આપ્યો છે ‘ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ ઍસોસિયેશન’ દ્વારા કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે બીએએમએસ કોર્સમાં તેમને મોડર્ન મેડિસિન એટલે કે એલોપેથીની પણ તાલીમ આપવામાં આવે છે. તેમ છતાં હાલના નિયમો મુજબ તેઓને એલોપેથી દવાઓ લખવાની કરવાની મંજૂરી નથી, જેના કારણે પ્રેક્ટિસમાં મર્યાદા ઊભી થાય છે. આયુર્વેદ ડૉક્ટરને તાલીમ અને જ્ઞાનના આધારે મર્યાદિત રીતે એલોપેથી દવાઓ લખવાની કાનૂની છૂટ આપવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરોની અછત વચ્ચે આ નિર્ણયથી દર્દીઓને વધુ ઝડપથી સારવાર મળી શકે.અરજીમાં 2018ના સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ઈન્ટિગ્રેટેડ મેડિસિન સિસ્ટમ હેઠળ તાલીમ લીધેલા ડોક્ટરોને રાહત આપવામાં આવી હતી. આ કેસમાં નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનદ્વારા અરજીને ટેકો આપવામાં આવ્યો છે, જે અરજદારો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આથી રાજ્ય સરકાર અને મેડિકલ સંસ્થાઓ પર દબાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાત મેડિકલ કાઉન્સિલે આ માંગનો વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે એલોપેથી પ્રેક્ટિસ માટે માત્ર એમ બી બી એસ લાયકાત ધરાવતા ડોક્ટરોને જ મંજૂરી હોવી જોઈએ, જેથી દર્દીઓની સલામતી જળવાઈ રહે.ગુજરાત હાઈકોર્ટે અરજી સ્વીકારીને રાજ્ય સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી છે અને આ કેસને 2006થી પેન્ડિંગ સમાન અરજી સાથે સાંભળવાનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:31 am

ઐતિહાસિક વસઈ કિલ્લો 8 મહિનાથી દરવાજા વિહોણો

ગત વર્ષે પૂરમાં દરવાજો ધોવાઈ ગયો હતો પુનઃ સ્થાપનાનો પ્રસ્તાવ મંજૂૂર થઈ ચૂક્યો છે, ટૂંક સમયમાં કામ શરુ થવાનું આશ્વાસન મુંબઈ - ઐતિહાસિક વસઈ કિલ્લાનો દરવાજો ઓગસ્ટ ૨૦૨૫માં પડેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. જોકે, આઠ મહિના પછી પણ આ દરવાજા પુનઃપ્રસ્થાપિત થયા નથી. આર્કિયોલોજી વિભાગના દાવા મુજબ આ દરવાજાના સમારકામનો પ્રસ્તાવ મંજૂૂર થઈ ગયો છે અને તેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરાશે.

ગુજરાત સમાચાર 18 Apr 2026 5:30 am

બ.કાં.માં 4 માસમાં PITનો બીજો કેસ:પાલનપુરમાં નશીલા પદાર્થો વેચનાર રીઢા ગુનેગારને વડોદરાની સેન્ટ્રલ જેલ મોકલાયો

પાલનપુરમાં નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલ રીઢા ગુનેગાર અને અગાઉના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ પણ તે ફરી નાર્કોટિક્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા PIT હેઠળ કેસ કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દેવાયો હતો. જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં PIT હેઠળનો આ બીજો કેસ નોંધાયો છે. પાલનપુરમાં હેરોઈન સહિતના નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર ઈશ્વરભાઈ ઉર્ફે હેન્ડલ કેશાભાઈ સલાટ સામે પોલીસે PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દીધો છે. આરોપી માનસરોવર ફાટક વિસ્તારમાં રહેતો હતો અને અગાઉ જામનગર તેમજ બનાસકાંઠામાં NDPSના બે ગુનામાં પકડાઈ ચૂક્યો હતો.. ડ્રગ્સ હેરાફેરી રોકવાનું કામ PIT NDPS એક્ટનું છે બનાસકાંઠા જિલ્લા એસઓજી પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યું હતું કે,PIT NDPS Act માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટેનો અટકાયતી કાયદો છે. સામાન્ય NDPS Act ગુનો થયા બાદ કાર્યવાહી કરે છે, PIT NDPS ગુનો અટકાવવા માટે અગાઉથી જ કડક પગલાં લે છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકારના સચિવ સ્તરના અધિકારી આ કાયદા હેઠળ 1 વર્ષ સુધી, અને ગંભીર કેસમાં 2 વર્ષ સુધી ટ્રાયલ વગર જેલમાં રાખી શકે છે. જામીન મળવા મુશ્કેલ હોય છે અને માત્ર એડવાઈઝરી બોર્ડ સમક્ષ રજૂઆત થઈ શકે છે. ડ્રગ્સનું ઉત્પાદન, વેચાણ, હેરાફેરી, ફાઈનાન્સિંગ અથવા આશરો આપતા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. ગેરકાયદે કમાયેલી મિલકતો પણ જપ્ત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

સિવિલના ડેન્ટલ વિભાગે બાળકને થતી ખાવાની તકલીફ દૂર કરી‎:પાલનપુર સિવિલમાં ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી

દાંતા તાલુકાના ચેખલા ગામે 10 ફૂટ ઊંચા શેડ પરથી નીચે પડતાં 7 વર્ષીય બાળકના મોઢામાંથી ભારે રક્તસ્ત્રાવ થવા છતાં પાલનપુર સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે માત્ર એક કલાકમાં સફળ સર્જરી કરી બાળકના તૂટી ગયેલા જડબાને ફરીથી યોગ્ય બનાવ્યું હતું. દાંતા તાલુકાના ચેખલા ગામે 7 વર્ષીય રાહુલભાઈ પશુના શેડ ઉપરથી અંદાજિત 10 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં તેને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી નીકળી રહ્યું હતું. પડતાની સાથે જ બાળક બેહોશ થઈ જતા પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો.પરિવારે 108 મારફતે બાળકને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી રક્તસ્ત્રાવ બંધ કર્યો હતો. ત્રણ દિવસની સારવાર બાદ વધુ સારવાર માટે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. સિવિલના ડેન્ટલ વિભાગને તપાસ દરમિયાન બાળકના મોઢામાં ભારે સોજો અને જડબું તૂટી ગયેલું હોવાનું જણાતા સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. જેમાં જડબામાં ફ્રેક્ચર સ્પષ્ટ થતાં તાત્કાલિક સર્જરીનો નિર્ણય લેવાયો હતો.સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડોક્ટરોની ટીમે લગભગ એક કલાકમાં સફળ સર્જરી કરી હતી. ઇન્ટ્રાઓરલ ટેક્નિકથી જડબું સ્થિર કરાયું અને બાળકને ખાવામાં સરળતા રહે તે માટે ખાસ સ્પ્લિન્ટ મુકાયું હતું. સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી હતી

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

કાઉન્સેલિંગ:ડોળીયા બાઉન્ડ્રી પાસે એક સપ્તાહથી ભટકતી નિરાધાર મહિલાને છત મળી

સુરેન્દ્રનગર જિલ્લાના ડોળીયા બાઉન્ડ્રીથી એક સેવાભાવી વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇન ટીમને તેમની મદદ લેવા માટે બોલાવેલ સેવાભાવી વ્યક્તિએ જણાવ્યું કે રાજકોટ હાઇવે પર ચોટીલા તરફ જતા ડોળીયા બાઉન્ડ્રી એ એક પીડિત મહિલા માર્ગ પર ભટકતા હતા ઘણા સમયથી નાગેશ્વર આશ્રમની બાજુમાં આવેલ ઓટલા ઉપર બેઠેલા છે. જેથી તે પીડિતાના આશ્રય માટે મદદ માંગેલ. 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જેમાં કાઉન્સિલર મેત્રા રીંકલ કોન્સ્ટેબલ મનીષાબેન નાકિયા તેમજ પાયલોટ મહેશભાઈ સભાડ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના જાણી અને પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે ઘણા સમયથી પીડિતી હતી અને અલગ અલગ વિસ્તારમાં ભટક્યા કરતી હતી. અંદાજે એક અઠવાડિયાથી તે નાગેશ્વર આશ્રમની બહાર ઓટલે બેઠેલ છે. જેથી આશ્રમના બાપુએ તેમને જમવાનું આપેલ વાત કરવા ની ટ્રાય કરેલ પરંતુ તે બાપુને કાંઈ જણાવતા નથી માટે બાપુએ પીડિતાને આશ્રય મળે માટે ગામના સરપંચ‌ના છોકરાને વાત કરેલી સરપંચના દીકરાએ શિવાલય સેલટર હોમ જશાપરના પ્રમુખ નીતાબેન જાની જોડે કોન્ટેક કરી તેમને પીડિતાને લેવા માટે બોલાવેલ નીતાબેનની જોડે ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી. પરંતુ પીડિતા ગભરાઈ ગયેલ તે તેમનું સાચું સરનામું પણ જણાવતા ન હતા. બંને ટીમે તેમને સાત્વના આપી તેમજ તે વાનમાં બેસવા તૈયાર થતા ન હતા. ઘણા પ્રયાસ કરી પછી લાગણી તેમજ પ્રેમ ભાવથી ખૂબ સમજાવી પીડિતા મહિલાને તેમની વાનમાં બેસવા તૈયાર કરેલ પછી તે આશ્રય જવા માટે રાજી થઈ ગયેલ પીડિતાને ન કોઈ ઘર હોય ન કોઈ પરિવાર હોય સતત રસ્તે જીવન પસાર કરતા હોય માટે તેમને આશ્રય તેમજ સુરક્ષાની ખૂબ જ જરૂર જણાય 181 મહિલાને ખૂબ પ્રયત્ન કરી મહિલાને શિવાલય સેલટર હોમમાં આશ્રય અપાવેલ હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

ઝઘડાનું મનદુ:ખ રાખી શખ્સે હુમલો કર્યો‎:મહિયારી ગામે માતા પુત્ર પર શખ્સનો હિચકારો હુમલો

કુતિયાણાના મહીયારી ગામે અગાઉના મનદુઃખમાં એક શખ્સે માતા પુત્રને લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓને પહોચાડી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના મહીયારી ગામે રહેતા વિજય માલદેભાઈ સોલંકીને દશેક દિવસ પહેલા આ ગામના કરણ પરબત પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી તથા ઝઘડો થયેલ હતો, જે વાતનુ મનદુખ રાખી શખ્સે યુવાનને તથા યુવાનના માતા મંજુબેનને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરી. લોખંડના પાઈપ વડે માર મારી શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી અને મંજુબેનને માથાના ભાગે લોખંડના પાઈપનો એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ પરબત પરમાર સામે ગુન્હો નોંધી આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

સાંઢિયાવાડની ઘટના:પાણી સમજી એસિડનો ઘૂંટડો પી જતા પરિણીતા સારવારમાં

પોરબંદરના છાંયા એસએસસી રોડ પર સાંઢિયાવાડમાં રહેતી એક પરણિતાએ પાણી સમજીને એસિડનો ઘૂંટડો પીવાઈ જતા તેણીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોરબંદરના છાંયા એસએસસી રોડ પર સાંઢિયાવાડમાં રહેતી આરતીબેન વિજયભાઈ આગઠ નામની 26 વર્ષીય પરણિતાએ ગત તા. 16/4ના રોજ સવારે પોતાના ઘરે ઘરકામ કરતા હતા ત્યારે પાણી સમજીને એસિડની બોટલ માંથી એક ઘૂંટડો પીવાઈ જતા આ પરણિતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ પાણી સમજીને એસિડની બોટલ માંથી એક ઘૂંટડો પીવાઈ ગયો હોવાનું પોલીસ ચોપડે જાહેર કર્યું છે. પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ ડીવાયએસપી ઋતુ રાબા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

શારીરિક માનસિક ત્રાસ આપી પત્નીને માર માર્યો‎:રાણાવાવના રાણા વરવાળા ગામે પરિણીતાને પતિનો ત્રાસ

રાણાવાવના રાણા વરવાળા ગામે રહેતો એક પરણિતાને તેના પતિએ ઝગડો કરી બોલાચાલી કરી ગાળો કાઢી લાકડી વડે શરીરે માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની પરણિતાએ ફરિયાદ નોંધાવી છે. રામજીભાઈ જીવણભાઇ ધૂમલીયાની પુત્રી મનીષાબેનના લગ્ન રાણાવાવના રાણા વરવાળા ગામે વાડી વિસ્તારમાં વિઠલ નથુભાઈ ઓડેદરા સાથે થયા છે. લગ્ન જીવન દરમ્યાન મનીષાબેન સાથે તેનો પતિ વિઠલ અવાર નવાર નાની નાની વાતોમાં બોલાચાલી તથા ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી શારીરિક માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તાજેતરમાં આ પરિણીતાના પતિએ મનીષાને બંને પગના સાથળના ભાગે લાકડી વડે માર મારી એક લાકડીનો ઘા માથાના ભાગે મારી લોહી નિકળતી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિઠલ નથુભાઈ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું‎:સુરક્ષા એજન્સીના ઉચ્ચ અધિકારીઓએ આર્ય કન્યા ગુરુકુલ, CBSE સ્કૂલની મુલાકાત લીધી

પોરબંદર રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ (વિશિષ્ટ સેવા મેડલ), ફ્લેગ ઓફિસર કમાંડિંગ ગુજરાત નેવલ એરિયા તથા તેમની પત્ની સોમા ગુરુએ પોરબંદરની આર્ય કન્યા ગુરુકુલ, CBSE સ્કૂલની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મહેમાનોને ગુરુકુલની અનોખી શિક્ષણ પદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત, સાંસ્કૃતિક મૂલ્યો અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. શાળાના શૈક્ષણિક, શારીરિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટેના કાર્યક્રમો જેમ કે અભ્યાસ, રમતગમત, સંગીત, નૃત્ય, યોગ, ધ્યાન અને મૂલ્ય આધારિત શિક્ષણ વિશે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. મહેમાનોને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો તેમજ તેમણે નેતૃત્વ વિકાસ પ્રવૃત્તિઓ, રમતગમતમાં સિદ્ધિઓ, સાંસ્કૃતિક તાલીમ અને હોસ્ટેલ આધારિત શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દ્વારા મહેમાનોને આર્ય કન્યા ગુરુકુલના વિશિષ્ટ શિક્ષણ માહોલને નજીકથી સમજવાનો અવસર મળ્યો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી.શાળાના વ્યવસ્થાપન, પ્રિન્સિપલ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ આ પ્રેરણાદાયી મુલાકાત અને માર્ગદર્શન માટે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

મતદાર જાગૃતિ અંગે પ્રેરણા અપાઇ:કમલાબાગ ખાતે 50થી વધુ મહિલાએ અમે‎અવશ્ય મતદાન કરીશું'' અંગે શપથ લીધા‎

સ્થાનિક સ્વરાજ્ય એકમો જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકાની સામાન્ય/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ 2026 યોજાનાર છે. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન ચાલુ રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા કમલા નહેરુ બાગ, પોરબંદર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.. સ્ત્રી નિકેતન સંસ્થા, પોરબંદર દ્વારા ચૈત્ર માસ ઉત્સવ પ્રસંગે વન ભોજન અને દાબડા ઉજવણી પ્રસંગે ઉપસ્થિત 50 થી વધુ મહિલાઓ, સ્ત્રી નિકેતનના પ્રમુખ ઉષાબેન હાથી, કમિટીના સદસ્યો અને દુર્ગાબેન લાદીવાલા વગેરે સન્નારીઓ દ્વારા મતદાર જાગૃતિ માટે શપથ લેવામાં આવેલ. ઉપરાંત સંસ્થાના પ્રમુખ અને સદસ્ય બહેનોએ કમલાબાગ જેવા જાહેર સ્થળ પર મતદાર જાગૃતિ અંગે શપથ લઇ, સમાજના લોકોને વધુ ને વધુ મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વેપ ટીમના ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી દ્વારા વધુને વધુ મતદાન કરવા અંગે અપીલ કરી હતી. આ અંગે બહેનોને મતદાર જાગૃતિ અન્વયે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વેપ મદદનીશ નોડેલ અધિકારી સંદિપ સોની સહિત સ્વેપ ટીમના બધા સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

ભાજપે રજૂ કર્યું સંકલ્પ પત્ર:ભાજપે ચૂંટણી ઢંઢેરામાં વિકાસના નવા 15 થી વધુ વચનો આપ્યા, જે પૈકી 8 વચન રિપીટ કર્યા

પોરબંદર મનપાની ચૂંટણીમાં પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો શરૂ કરી મતદારોને રીઝવવા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે ભાજપે પણ સંકલ્પ પત્ર જાહેર કર્યું છે જેમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં નવા 15થી વધુ વચનો આપ્યા, 8 વચન રીપીટ કર્યા છે. આ 8 વચન પૂરા ન થતા 5 વર્ષમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. પોરબંદર મનપાની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપના સંકલ્પ પત્રમાં ભાજપ મનપામાં આવશે તો સ્માર્ટ સ્ટ્રીટલાઇટ, પાણી વિતરણ, ગાંધી સ્મૃતિભવન, નવા શૌચાલય, પોરબંદર દર્શન બસ, સ્મશાનભૂમિ, રવીન્દ્ર રંગમંચ બનાવવું જેવા જૂના વચન તેમજ ઇન્ફસ્ટાક્ચર સુવિધા, મનપા ભવન, ભૂગર્ભ ગટરના કામો, સ્ટ્રોમ વોટર લાઇન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પાણી પુરવઠા,બ્રિજ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, બ્યુટીફિકેશન, સ્પોર્ટ્સ, હેરિટેજ, ગાંધીજીના સિધ્ધાંત આધારિત વિકાસ કામો પૂરા કરશે તેવું સંકલ્પ પત્રમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા જૂના 8 વચનમાં સ્ટ્રીટલાઇટો સ્માર્ટ કરવામાં આવશે તેવું જાહેર કર્યું છે ત્યારે શહેરમાં છેલ્લા 5 વર્ષમાં સ્ટ્રીટ લાઈટ બંધ થવાની ફરિયાદો બંધ થઈ નથી, કોરોના કાળ પહેલા થી જ ગાંધી સ્મૃતિ ભવનમાં ગાંધીજીના જીવન ચરિત્ર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ હાલતમાં છે જેને ચાલુ કરવા સંકલ્પ લેવામાં આવ્યો છે જ્યારે વર્ષોથી રવિન્દ્ર રંગમંચ બિસ્માર હાલતમાં છે જેને 5 વર્ષમાં રિપેર કરી શક્યા નથી તે આધુનિક બનાવવા સંકલ્પ કર્યો છે. વર્ષોથી સ્મશાન ભૂમિ પણ બિસ્માર છે તે સ્મશાન ભૂમિને નવેસરથી બનાવવા સંકલ્પ લેવાયો છે. સિટી બસ ચાલુ કરી છે પરંતુ અગાઉના વચન મુજબ પોરબંદર દર્શન સીટી બસ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. આધુનિક શૌચાલય બનાવવાના વચનો સામે 5 વર્ષમાં શૌચાલયમાં સુવિધામાં વધારો કરાયો નથી. જ્યારે ગત વખતે પીવાના પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા વચનો પાયા હતા જેમાં હજુપણ કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી અનિયમિત વિતરણ થાય છે ત્યારે આ વખતે ભાજપે પાણી વિતરણ વ્યવસ્થા અંગે વચન આપ્યું છે. આમ ભાજપે 8 જેટલા જૂના વચનો રીપીટ કર્યા છે. પાલિકા અને મનપામાં ઘણો ફરક પડશે : ભાજપ જિલ્લા પ્રમુખ અગાઉ જે વિકાસના કામો માટેના વચનો હતા તેમાં જે તે વખતે પાલિકા હતી અને પાલિકામાં મર્યાદિત ભંડોળ હોય છે જ્યારે પાલિકા અને મનપામાં ઘણો ફરક છે. હવે પોરબંદર મનપા બની છે એટલે વિકાસના કાર્યો માટે વધુ ગ્રાન્ટો આવશે જેથી વિકાસના કામોના વચનો પૂરા કરવામાં આવશે.> ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ, પોરબંદર પોરબંદર કોંગ્રેસના વિકાસ વચનો શહેરના વિકાસ માટે કોંગ્રેસે મહત્વપૂર્ણ વચનો આપ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે માસ્ટર પ્લાન અને શહેરવાસીઓને નિયમિત શુદ્ધ પાણી આપવાની યોજના છે. લારી-ગલ્લા ધારકોને લાઇસન્સ આપી સુરક્ષા આપવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ સરળ બનાવાશે અને વ્યાજ ઘટાડાશે. ઉદ્યોગોના પ્રદૂષણ માટે નિયંત્રણ વ્યવસ્થા ઉભી કરાશે. વોર્ડમાં હોસ્પિટલ અને સિટી બસ સ્ટેન્ડની સુવિધા સાથે રસ્તાઓ સમથળ બનાવી પરિવહન વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરાશે. > રાજવીર બાપોદરા, શહેર પ્રમુખ કોંગ્રેસ, પોરબંદર

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

સિંગલ અને મલ્ટીચોઈસ ઇ.વી.એમ.નો ઉપયોગ કરવામાં આવશે,આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવાયા:પોરબંદર મહાનગરપાલિકામાં 165 અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે

પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકો સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 165 અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સિંગલ અને મલ્ટીચોઈસ ઇ.વી.એમ.નો ઉપયોગ કરવામાં આવશે ત્યારે હાલ આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવાયા છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હાલ આ ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની, ચકાસણી કરવાની તેમજ પરત ખેંચવાની પ્રકિયા પૂર્ણ થતાં હાલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેથી હાલ જિલ્લા વહીવટી વિભાગ અને ચૂંટણી શાખા દ્વારા 26 એપ્રિલે યોજાનાર મતદાન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.અને પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 165 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે. પોરબંદર જિલ્લા અને તાલુકા પંચાયતમાં સિંગલ ચોઈસ ઇ.વી.એમ.મશીન તેમજ મહાનગરપાલિકામાં મલ્ટીચોઈસ ઇ.વી.એમ.નો ઉપયોગ થશે.આ ઇ.વી.એમ.ઉપરાંત ચૂંટણી સાહિત્ય પણ આગામી દિવસોમાં ફાળવણી કરવામાં આવશે. આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવાયાપોરબદર શહેરમાં આવેલ ઇ.વી.એમ.ના સ્ટોગરૂમમાંથી આજે જિલ્લા અને તાલુકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીના તમામ આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવવામાં આવ્યા હતા.આ તમામ ઇ.વી.એમ.પોલીસ સુરક્ષા સાથે ફાળવવામાં આવ્યા હતા ત્યારે આગામી દિવસોમાં આ ઇ.વી.એમ.ચકાસણી સહિતની પ્રકિયા પણ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

‎‎વિદ્યાર્થીઓ પર થતી અન્યાયી ‎‎નીતિઓના વિરોધ:GCASની ખામીઓ અને વિદ્યાર્થીઓ પર થતા અન્યાયના વિરોધમાં ABVPનું વિરોધ પ્રદર્શન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પોરબંદર દ્વારા GCASની ખામીઓ અને વિદ્યાર્થીઓ પર થતી અન્યાયી નીતિઓના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ફુવારા સર્કલ ખાતે પ્લેકાર્ડ સાથે કાર્યકરો એકત્રિત થયા હતા અને GCAS સામે નારાબાજી કરી હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે અને તેને સુધાર્યા વગર સ્વીકાર્ય નથી. GCASની ખામીઓ દૂર કરી તાત્કાલિક સુધારા કરવાની માંગ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો GCASમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:આખરે સુભાષનગરમાં પીવાનું પાણી વિતરણ કરાયું

પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. પીવાનું પાણી 5 દિવસથી વિતરણ ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જે અંગે ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ કરતા જ તંત્ર દ્વારા પાણી વીતરણ કરાયું હતું. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 12 હજાર જેટલી વસ્તી છે. આ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, સુભાષનગરમાં દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ પીવાના પાણીનો વારો હતો તે દિવસે પાણી વિતરણ ન થયું અને બીજા દિવસે પણ પાણી વિતરણ ન થયું. આમ 5 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતાં સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, ઘર બહાર રાખેલ પીવાના પાણીની ટાંકીઓ અને બેરલો ખાલીખમ બન્યા છે. મનપા દ્વારા પીવાના પાણી વિતરણ માટે યોગ્ય આયોજન કરી નિયમિત પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ કરવામાં આવતા જ મનપા તંત્ર દ્વારા તાકીદે સુભાષનગર વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

રવિપાકની આવક જોવા મળી:સૌથી વધુ ઘઉંની 8,300 કિલો આવક થઈ,‎પ્રતિમણે રૂ.400 થી 421 ભાવ બોલાયા‎

પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી વધુ ધાણાની 8,300 કિલો આવક થઈ હતી જેનો પ્રતિમણે રૂ.400 થી 421 ભાવ ખેડૂતોને મળ્યા હતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શુકવારે મગફળીની 2500 કિલો,બાજરો 50 કિલો,ચણાની 1000 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 2500 કિલો,ઘઉંની 8,300 કિલો,જુવારની 800 કિલોની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1140 થી 1330 ભાવ,બાજરો રૂ.421 ભાવ,જીરુના રૂ.3300 થી 3900 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1450 થી 2310 ભાવ અને ચણાના રૂ.980 થી 1000 ભાવ બોલાયા હતા. ચણાની ખરીદી શરૂ થતાં યાર્ડમાં આવક ઘટીપોરબંદરના યાર્ડમાં અગાઉ સૌથી વધુ ચણાની આવક જોવા મળતી હતી ત્યારે હાલ પોરબંદરના યાર્ડ સહિતના સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતાં યાર્ડમાં ચણાની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

મુસાફરો થયા પરેશાન:માંગરોળ- સાળંગપુર રૂટની બસ‎ગાદોઇ ફાટકે જ બંધ પડી ગઈ !‎

એસ.ટી તંત્ર દ્રારા મુસાફરોને સારી સવલતો આપવા માટે નવી નકોર બસ દોડાવવામાં આવી રહી છે. પરંતુ જૂની બસનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવતું ન હોય અધવચ્ચે જ રહેતી હોય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર પોતાના સ્થળે પહોંચી શકતા નથી ત્યારે જ ગુરૂવારે બપોરના 4 વાગ્યાની આસપાસ ગાદોઇ ફાટક પાસે માંગરોળ-સાળંગપુર રૂટની બસ અધવચ્ચે જ રહી હતી અને આગળનું ટાયર બેસી જતા મુસાફરોને ઉતારી અન્ય બસમાં બેસાડવાની નોબત આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

શ્રીજી સેલ્સ કોર્પો.માં એલસીબી ત્રાટકી‎:સ્પોર્ટસ સાધનો સાથે દારૂનો પણ ધંધો કર્યો

શહેરમાં એમ જી રોડ, સુભાષ પાણીપુરીની સામે ડિલકસ પાન વાળી શેરીમાં પોતાની રમત ગમતના સાધનોની શ્રીજી સેલ્સ કોર્પોરેશન નામની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી અને છૂટક વેચાણ થતુ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ગુરૂવારની રાત્રે ત્યાં ત્રાટકી હતી. અહીંયા 2 શટરવાળી શ્રીજી સેલ્સ કોર્પોરેશન દુકાનમાં રેઇડ પાડી હતી. દરોડા દરમિયાન જગમાલ ચોક, પીપળાવાળી શેરી, જૈન ઉપાશ્રયની સામે રહેતા 52 વર્ષીય વેપારી ઇમરાન ગુલામ મહમદ પટણી અને અશોકનગર, હીરાપન્ના કોમ્પ્લેક્સ વાળી શેરીમાં આવેલ બંસી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 33 વર્ષીય જયદિપ સુરેશભાઇ ચરાડવા દુકાનમાંથી મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા દુકાનમાં સ્પોર્ટ્સના સાધનોની આડમાંથી રૂપિયા 76,800ની કિંમતના વિદેશી દારૂની 81 બોટલ મળી આવતા બંને શખ્સની દારૂ, 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,36,800ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. અંબિકા ચોકના રહીશ શખ્સ પાસેથી લાવ્યા'તા બંને આરોપીએ દારૂનો જથ્થો અંબિકા ચોકમાં રહેતા ભરત જોબનપુત્રા ઉર્ફે સોડા વાળો પાસેથી મેળવી વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ભરત જોબનપુત્રાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ:જૂનાગઢમાં 6545 સામે અટકાયતી પગલા, 1659 હથિયારો જમા લીધા

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને અનુલક્ષીને જૂનાગઢ રેન્જમાં ભયમુક્ત અને ન્યાયી વાતાવરણ જાળવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જ ચૂંટણીલક્ષી કડક કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વો સહિતના ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ​ પોલીસ દ્વારા બીએનએસએસ અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ કુલ 6545 શખ્સો સામે અટકાયતી પગલા લઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રેન્જમાં કુલ 1874 પરવાનાવાળા હથિયારો પૈકી 1659 હથિયારો જમા લેવામાં આવ્યા છે, તેમજ 213 હથિયારો મુક્તિ, જપ્ત અને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 3 જિલ્લામાં 23 ચેકપોસ્ટ બનાવાઇ​રેન્જના જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં 23 ચેકપોસ્ટ ઉભી કરી કુલ 14765 વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ 207 હિસ્ટ્રીશીટરો પર નજર રાખવામાં આવી રહી છે. 56.23 લાખનો દારૂ કબજે લીધો‎જુનાગઢ રેન્જમાં પોલીસ ટીમોએ દેશી અને વિદેશી દારૂ પર ત્રાટકીને‎કુલ રૂપિયા 56,23,842ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં‎15901 વિદેશી દારૂની બોટલોનો પણ સમાવેશ થાય છે. રેન્જમાં 1,480‎બિન-જામીનપાત્ર વોરંટમાંથી 1142ની બજવણી કરવામાં આવી હતી.‎ઉપરાંત 15 જેટલા નાસતા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પ‎કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.‎

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ:સિકલ સેલ એનીમિયાથી પીડાઇ રહેલી 20 વર્ષિય યુવતીની સર્જરી કરી 4 કિલોની બરોળ દૂર કરાઈ

જૂનાગઢની જી.એમ.ઈ.આર.એસ. (GMERS) સિવિલ હોસ્પિટલના તબીબોએ સિકલ સેલ એનીમિયા જેવી બીમારીથી પીડાતી 20 વર્ષીય યુવતીની જટિલ સર્જરી પાર પાડી તેને નવું જીવન આપ્યું છે. આ યુવતી જ્યારે હોસ્પિટલમાં આવી ત્યારે તેની બરોળનું કદ સામાન્ય કરતાં અનેકગણું વધી ગયું હતું (Grade 4 Splenomegaly), જેને કારણે તેના જીવનું જોખમ ઊભું થયું હતું. સર્જરી વિભાગના વડા ડો. દિગંત શિકોતરાના માર્ગદર્શન હેઠળ ડો. અમિત ભુવા અને તેમની ટીમે 6 એપ્રિલના રોજ આ ઓપરેશન હાથ ધર્યું હતું. સિકલ સેલના દર્દીઓમાં સર્જરી દરમિયાન લોહીના ગઠ્ઠા થવા કે અન્ય અંગો નિષ્ફળ જવાનું જોખમ હોય છે. સર્જરી દરમિયાન જોવા મળ્યું કે બરોળ અન્ય અંગો સાથે મજબૂતીથી જોડાયેલી હતી, પરંતુ સર્જનો અને એનેસ્થેસિયા ટીમની મહેનતથી ઓપરેશન સફળ રહ્યું હતું. દર્દીને સારવાર દરમિયાન કુલ 12 યુનિટ લોહીના ઘટકો ચડાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ મોંઘી અને જટિલ સર્જરી આયુષ્માન કાર્ડ (PMJay) યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી છે. 3 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ યુવતી હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું . શું છે સિકલ સેલ અને સ્પ્લેનોમેગેલીસિકલ સેલ એનીમિયા એ એક વારસાગત રક્ત વિકાર છે જેમાં લાલ રક્તકણો દાતરડા જેવા આકારના બની જાય છે, જે લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો કરે છે. જ્યારે આ પ્રક્રિયાને કારણે બરોળ (Spleen) લોહીને ફિલ્ટર કરવાનું કામ વધુ પડતું કરવા લાગે ત્યારે તેનું કદ અસામાન્ય વધી જાય છે (સ્પ્લેનોમેગેલી), જે જીવલેણ બની શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

ટીપી સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો:ટીપી સ્કીમ એટલે ખેડૂતોની સંમતિ વિના જમીન હડપી લેવાનું કૌભાંડ, ઓનર્સ મિટિંગમાં આક્રોશ

ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ 1976ની જોગવાઈનું ઉલ્લંઘન કરીને તૈયાર કરાયેલી આ ટીપી સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. કલમ 45 મુજબ એક પણ ફાઈનલ પ્લોટ ફાળવ્યા વગર જ આખી યોજના થોપી દેવાઇ છે. નિયમ 17 હેઠળની બેઠકમાં તમામ જમીન માલિકોએ લેખિત વિરોધ નોંધાવ્યો હોવા છતાં, તંત્ર દ્વારા લોકશાહીના મૂલ્યોને નેવે મૂકી સ્કીમ આગળ ધપાવવામાં આવી રહી છે. 900 કરોડના તોતિંગ ખર્ચવાળી આ યોજના માટે ન તો જમીન માલિકો તૈયાર છે, ન તો સરકાર પાસે પૂરતી ગ્રાન્ટ ઉપલબ્ધ છે.યોજનામાં ખાનગી માલિકીની જમીનો પર 40% કપાત લાદી દેવામાં આવી છે. કલમ 40(3) ના ખોટા અર્થઘટન દ્વારા તૈયાર કરાયેલા ગેરકાયદે ''ફોર્મ F'' અને ''ફોર્મ G'' માં વળતરની રકમો અને આંકડાઓમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. વેચાણ હેતુ માટે લાખો મીટર જમીન અનામત રખાઈ છે, પરંતુ જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર આપવાની કોઈ સ્પષ્ટ નીતિ જાહેર કરાઈ નથી. ખેડૂતોની માંગ છે કે આ જમીન સંપાદન માટે સરકારની પૂર્વ મંજૂરી લેવામાં આવે અથવા યોજના રદ કરવામાં આવે. ટીપી રદ્દ નહીં થાય તો આંદોલન7/12 ના ઉતારા મુજબ અલગ માલિકી ધરાવતા ખેડૂતોને સંયુક્ત પ્લોટ ફાળવીને વિવાદનું બીજ રોપવામાં આવ્યું છે. આ અન્યાયી વહેંચણી રદ કરી 712 મુજબ સ્વતંત્ર ફાઈનલ પ્લોટ આપવાની ઉગ્ર માંગ ઉઠી છે. વારંવારની રજૂઆતો છતાં લોકોના પ્રશ્નોને અવગણી ગેરકાયદેસર યોજના બનાવનાર અધિકારીઓ સામે કડક દંડનાત્મક પગલાં લેવાની માંગણી કરાઈ છે. જો આ અન્યાયી ટીપી સ્કીમ રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાના એંધાણ છે. 40 નહીં પણ 35‎ટકા સામાન્ય કપાત‎‎30 લાખ ચોરસ મીટરમાં ટીપી નંબર‎પાંચ નો વિકાસ કરવામાં આવશે.‎જેમાં 35% સામાન્ય કપાસ થશે.‎આ કપાસ 40% ની હોય છે. આજે‎ઓનર્સ મિટિંગ બોલાવવામાં આવી‎હતી જેમાં જમીન હિતધારકો,‎જમીન માલિકો હાજર રહ્યા હતા.‎લેવા પટેલ સમાજ ખાતે યોજાયેલી‎આ ઓનર્સ મિટિંગમાં કપાત અને‎બેટરમેન્ટ ચાર્જ મામલે વિરોધ થયો‎હતો. હવે જેને પણ વાંધા સુચન‎હોય તે 27- 4 -2026 સુધી વાંધા‎સૂચનો રજૂ કરી શકશે. > કે.વી.‎બાટી , એડિશનલ કલેકટર ,જુડા‎

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

દારૂ ઝડપાયો:ખોરાસા પાસે ફિલ્મી ઢબે નાકાબંધી, કારમાં 1 લાખના દારૂ સાથે 3 ઝડપાયા

ચોરવાડ વિસ્તારમાં પોલીસે ખોરાસા પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી કારમાં 1 લાખના દારૂ સાથે 3 શખ્સને ઝડપી લઇ રૂપિયા 5.23 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. 1 શખ્સ નાસી જતા તપાસ હાથ ધરી હતી. ચોરવાડ પોલીસની ટીમ શુક્રવારે સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ડારી ગામે રહેતો જગા ભગા બામણીયા તથા વેરાવળનો ચંદ્રેશ રામા સિંધી તેની કબૂતરી રંગની જીજે 32 બી 6453 નંબરની કારમાં દારૂનો જથ્થો ભરીને વેરાવળના ડારી ગામે જગા ભગા બામણીયાના ઘરે જાય છે. આ બાતમી આધારે પોલીસે ખોરાસા ગામ પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી હતી. કારને ઉભી રખાવતા જ તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી જગમાલ ઉર્ફે જગો ભગાભાઈ બામણીયા, વેરાવળનો રવિન્દ્ર પ્રવિણચંદ્ર પરમાર અને હરિયાણાનો ભુપસીંગ બલબીરસીંગ શ્યોરણની ધરપકડ કરી લીધી હતી, જ્યારે એક આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. કારની તલાશી દરમ્યાન સીટ નીચેના ખાનામાંથી રૂપિયા 1,00,400ની કિંમતના ઇંગ્લિશ દારૂની 502 બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર, 6 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5.23 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપી ચંદ્રેશ રામભાઈ સિંધીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દારૂ હરિયાણાથી લાવ્યા હતા પૂછપરછમાં આરોપી જગ મારુ કે જગોએ જણાવ્યું કે, દારૂનો જથ્થો નાસી છૂટેલ ચંદ્રેશ સિંધી અને આરોપી ભુપસીંગ હરિયાણા બાજુથી ભરીને લાવ્યો હતો અને જગમાલ ઉર્ફે જગો બામણીયા તથા રવિન્દ્ર પરમાર માટે ડારી ગામે પોતાના ઘરે લઈ જવાનો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

કાર્યવાહી:ગુજસીટોકમાં પૂર્વ નેતા સહિત 8નો જેલમાંથી કબજો, 6 દિ'ના રિમાન્ડ

જામનગર શહેરમાં પુર્વ કોર્પોરેટરો અસ્લમ ખીલજી અને અલ્તાફ ખફીની ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં અગાઉ 14 શખસો ઝડપાયા હતા. જેમાં અલ્તાફ ખફી હત્યાના પ્રયાસ સહિતના 8 શખસો ફાયરીંગ પ્રકરણમાં જેલમાં હોવાથી તેનો ગુજસીટોકમાં કબજો લઈને 6 દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ કરી છે. જ્યારે રીમાન્ડ પુર્ણ થતાં 4 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પુર્વ કોર્પોરેટર અસલમ અને અલ્તાફની ગેંગના કુલ 29 શખસો સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જેમાં અસલમ સહિતના 14 શખસોની અગાઉ ધરપકડ કરી રીમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. જે બાદ અસલમની ગેંગના અસલમ કાદરભાઈ શેખ, ઈસ્માઈલ ઉર્ફે ધરાર હશનભાઈ માંડલીયા, નદીમ મોહમદહુશેન ખીલજી અને લતીફ ઉર્ફે લતીફ બાપુ હાજીભાઈ શેખની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ પર લીધા બાદ આજે રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોકની કોર્ટમાં રજુ કરીને અમદાવાદ અને વડોદરાની જેલમાં મોકલી દેવાયા છે. આ દરમિયાન સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ પહેલાથી જ હત્યાના પ્રયાસના કેસમાં જેલમાં રહેલા પુર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી તેમજ તેના ગેંગના સમીર શકિલ ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો રજાકભાઈ ચૌહાણ, ઈસ્તીયાક યુનુશભાઈ કુરેશી, મોસીન ઉર્ફે પસાસીયા મહેબુબભાઈ રૂમી, તોહિતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન શેખ, તબરેજ રફીકભાઈ હાલાણી અને હમીદ ઉર્ફે રાંજો જાનમામદ બ્લોચનો કબજો લીધો છે, અને આજે આઠેયને રાજકોટ ગુજસીટોક કોર્ટમાં રજુ કરીને આગામી તા.23 સુધી રીમાન્ડ પર લીધા છે. તેની આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. અલ્તાફ ખફી ગેંગના હજુ અબુસુફીયાન રહેમાનભાઈ કુરેશી અને ઓસમાણ મુસાભાઈ ખફીની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ વોર્ડનં-12માં અલ્તાફ ખફી કોંગ્રેસમાંથી અને અસલમ ખીલજી આપમાંથી ચુંટણી લડી રહ્યા છે. તેઓ બન્ને જેલમાં છે અને તેઓની સાથે પેનલમાં રહેલા સાથી ઉમેદવારો ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. તો બન્ને આરોપીઓ ગત ટર્મમાં સાથે મળીને કોંગ્રેસમાંથી ચુંટણી લડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:જી.જી.ની ઘોર બેદરકારી, તંત્રની આળસને‎કારણે કેથ લેબ માટે આવેલા 7 કરોડ પરત ગયા‎

સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરુ ગોવિંદસિંગ (જી.જી.) સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. વર્ષ 2024માં રાજ્ય સરકાર દ્વારા હૃદયરોગના દર્દીઓની સુવિધા માટે અત્યાધુનિક કેથ લેબ (Cath Lab) સ્થાપવા માટે ₹7 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને સંકલનના અભાવે આ ગ્રાન્ટનો ઉપયોગ થઈ શક્યો નથી અને અંતે આ રકમ સરકારમાં પરત ખેંચાઈ ગઈ છે. ​જામનગર અને આસપાસના દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો દર્દીઓ હૃદયરોગની સારવાર માટે જી.જી. હોસ્પિટલ પર નિર્ભર છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા હતા. પરંતુ વર્ષ્ 2024માં કેથ લેબ ક્યાં બનાવવી તેને લઈને લાંબો સમય કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહીં. વહીવટી તંત્ર દ્વારા જરૂરી મશીનરીની ખરીદી કે બાંધકામ માટેના ટેન્ડરો સમયસર બહાર પાડવામાં આવ્યા નહીં. ​સરકારી નાણાં પરત જવાથી જામનગરની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં હૃદયરોગના ગંભીર દર્દીઓને કાં તો ખાનગી હોસ્પિટલોમાં લાખોનો ખર્ચ કરવો પડે છે અથવા તો ગંભીર હાલતમાં રાજકોટ કે અમદાવાદ રીફર થવું પડે છે. ઘણીવાર રસ્તામાં જ દર્દીઓ દમ તોડી દેતા હોય છે. ​જ્યારે સરકાર આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચ કરવાની તૈયારી બતાવે છે, ત્યારે સ્થાનિક સ્તરે આવી બેદરકારી કેમ? શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે? આ ઘટનાએ સાબિત કર્યું છે કે માત્ર બજેટ ફાળવવાથી સુવિધા નથી મળતી, પણ તેને અમલમાં મૂકવાની દાનત હોવી પણ જરૂરી છે. આ એક ગંભીર વહીવટી નિષ્ફળતા છે જે સીધી રીતે સામાન્ય માણસના જીવ સાથે જોડાયેલી છે. જો સમયસર કામગીરી થઈ હોત, તો આજે જામનગરના અનેક દર્દીઓના જીવ બચાવી શકાયા હોત. કેથ લેબ માટેની કામગીરી સુપ્રિ.એ શરૂ કરીજી.જી. હોસ્પિટલમાં કેથ લેબની જરૂરિયાત ઘણા વર્ષોથી છે. અગાઉના તંત્રના અણઆવડતના કારણે રૂા.7 કરોડ પરત ચાલ્યા ગયા. હવે નવા તબીબી અધ્યક્ષ ડો. વિજય પોપટ દ્વારા કેથ લેબ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે માટે ફાઈલો અને મિટીંગો થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કેથ લેબ માટેના પૈસા આવી જશે તેમજ લેબ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે તેમ જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

વાતાવરણ:શહેરમાં મહત્તમ પારો 34.5 ડિગ્રીએ સ્થિર

જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી તાપમાનમાં વધ-ઘટ નોંધાઈ રહી છે. ત્યારે શુક્રવારે સવારે પુરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન 34.5 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. પરંતુ બપોરના સમયે સુર્યદેવતાના આકરા તાપથી લોકો પરસેવે લેબજેબ બની ગયા હતા. જામનગરમાં ગત સપ્તાહે સીઝનનું સૌથી ઉંચું 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા લોકો ગરમીમાં આકુળ-વ્યાકુળ બની ગયા હતા. જે બાદ તાપમાનનો પારો નીચે સરકીને શુક્રવારે બીજા દિવસે પણ મહત્તમ તાપમાન 34.5 ડિગ્રીએ સ્થિર થયો છે. જયારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે. તો ભેજનું પ્રમાણ 72 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકના 15 થી 25 કિ.મી.ની ઝડપે ફુંકાયો હતો. જેમાં બપોરના સમયે સુર્યદેવતાના આકરા તાપથી લોકો પરસેવે રેબઝેબ થયા હતા. તો બીજી બાજુ લોકોએ ગરમીથી રાહત મેળવવા મેળવવા માટે પંખા તેમજ એસીનો સહારો લીધો હતો.ગરમીના લીધે બાળકો તેમજ વૃદ્વોએ બપોરના સમયે ઘરમાંથી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગરમીથી બચવા માટે છાયડાઓનો સહારો લઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

સમસ્યા:લાખોટા તળાવની કેનાલના કાઢીયામાંથી ગંદા પાણીનો નિકાલ, રોગચાળાનો ભય

જામનગરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં વરસાદી પાણી લાવતી કેનાલમાં આવતું ગંદુ પાણી રણજીતસાગર રોડ પરના કાઢીયાથી રંગમતીમાં નિકાલ કરવામાં આવે છે. પરંતુ હાલ ગંદુ પાણી સોસાયટીઓ મારફત પસાર થતું હોવાથી ગંદકીના કારણે સોસાયટીના લોકોને ભારે હાલાકી પડી રહી છે. મચ્છરોના ઉપદ્રવના કારણે સોસાયટીમાં બીમારીની પણ દહેશત ફેલાયેલી છે. સ્થાનિક રહેવાસીઓ માટે સળગતી સમસ્યા બની ગઈ છે. શહેરના લાખોટા તળાવમાં વરસાદી પાણી લાવતી કેનાલ દરેડથી આવે છે, પરંતુ લાલપુર બાયપાસ ચોકડીથી દરેડ તરફની કેનાલમાં અમુક ઉદ્યોગોનું પાણી ઠાલવવામાં આવે છે. જેથી કેનાલમાં થોડું પાણીનો પ્રવાહ ચાલુ રહે છે. આ પાણી લાખોટા તળાવમાં ન પહોંચે તે માટે લાલપુર બાયપાસ ચોકડી પાસે તેમજ મારુ કંસારા સમાજની વાડીથી થોડે આગળ અને ગ્રીન સીટી પાસે કાઢીયા બનાવવામાં આવ્યા છે. તે કાઢીયા મારફત પાણી રંગમતી નદીમાં ઠાલવવામાં આવે છે. પરંતુ હાલ મારૂ કંસારા સમાજની વાડીની નજીકના આવેલા કાઢીયામાંથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે અને તેમાં અમુક હોટલોવાળા તેમજ અન્ય ધંધાર્થીઓ ગંદા પાણીનો નિકાલ કરતા હોવાથી તે તમામ ગંદુ પાણી મંગલધામ તેમજ કનૈયા પાર્ક સહિતની સોસાયટીઓમાંથી પસાર થાય છે. જેથી આ ગંદા પાણીના તલાવડા ભરાયેલા રહેતા હોવાથી સોસાયટીના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

સુવિધા:મહાનગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલ દોઢ મહિના બાદ શરૂ, શહેરીજનો ઉમટી પડ્યા

જામનગર મહાનગરપાલિકા હસ્તકના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં આવેલા સ્વમિંગ પુલનું દોઢેક માસ સુધી ચાલેલા મેન્ટેનન્સના કામ બાદ શરૂ કરવામાં આવ્યો છે. જેથી કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો સ્વીમિંગ પુલનો લાભ લેવા પહોંચી ગયા હતા. શહેરના મ્યુ.તંત્રની બિલ્ડીંગથી નજીક અને તળાવની પાળ પાસે આવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સના સ્વીમિંગ પુલના મેન્ટેનન્સનું કામ છેલ્લા દોઢેક માસથી ચાલી રહ્યું હતું. જે કામ પુર્ણ થયા બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોવાથી શહેરીજનો સ્વિમીંગ પુલનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સ્વિમીંગનો લાભ લઈને ઠંડક મેળવી રહ્યા છે. હાલ એક-એક કલાકની બેચીંસ રાખવામાં આવી છે. જેમાં સ્ત્રીઓ અને પુરૂષો માટે અલગ-અલગ બેચીંસ રાખવામાં આવી છે. આ સ્વિમીંગ પુલમાં મોટી સંખ્યામાં રમતવીરો પ્રેક્ટિસ કરવા માટે આવે છે અને કલાકો સુધી સ્વિમીંગની મોજની સાથે-સાથે પ્રેક્ટિસ પણ કરે છે. તો ઘણા ખેલાડીઓ આ સ્વિમીંગ પુલમાં પ્રેક્ટિસ કર્યા બાદ રાજ્યકક્ષાએ રમી આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

માર માર્યો:ભાઇ સાથે મળી પતિએ પત્નીને ફટકારી

બગસરા આઈ.ટી.આઈ. નજીક બાળકોની કસ્ટડીના વિવાદને લઈને પતિએ ભાઈ સાથે મળી પત્ની અને સસરાને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. પરણિતાએ પતિ અને તેના ભાઈ સામે પોલીસમાં ફરિયાદ આપી છે. ધારીના ડાભાળી જીરા ગામે રહેતી નીલાબેન ઉર્ફે નિલેશ્વરીબેન લગધીર બસીયા (ઉ.વ.૩૩)ને તેમના પતિએ આશરે ચાર વર્ષ પહેલા ઘરેથી કાઢી મુક્યા હતા અને બાળકો તેમની પાસે રહેતા હતા. સમયાંતરે પતિ લગધીરએ બગસરા ફેમિલી કોર્ટમાં બાળકોની કસ્ટડી મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટ બાળકોની કસ્ટડી સોંપવાનો હુકમ ન થતાં પતિએ તેનો ખાર રાખ્યો હતો. ગઈકાલે બપોરે આશરે 02:15 વાગ્યે બગસરા આઈ.ટી.આઈ. નજીક સાવરકુંડલા મણિનગરમાં રહેતા પતિ લગધીર રામકુભાઈ બસીયા તેના ભાઈ વનરાજ રામકુભાઈ બસીયા GJ-14-AP-1132 નંબરની કારમાં આવી પહોંચ્યા હતા. અને મહિલાને તથા તેમના પિતાને ગાળો આપી ઝઘડો કર્યો હતો. જેમાં લગધીરે તેની પત્નીને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો, જ્યારે વનરાજે મહિલાના પિતા હકુભાઈ દાડુભાઇ વાળાને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી, મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નીલાબેન બસિયાએ લગધીર રામજીભાઈ બસિયા અને વનરાજ રામજીભાઈ બસિયા વિરુદ્ધ ફરિયાદ આપતા બગસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

પોલીસ દ્વારા દરોડો:IPL મેચ દરમિયાન રમતા સટ્ટા પર પોલીસનો દરોડો

બાબરા શહેરમાં આઈપીએલ ટી-20 ક્રિકેટ મેચ દરમિયાન ચાલી રહેલી સટ્ટાબાજી પર પોલીસ દ્વારા દરોડો પાડતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસને જોઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે આશરે 08:15 વાગ્યે બાબરા શહેરના મોટા બસ સ્ટેશન સામે આવેલ સેવન સ્ટાર કોમ્પ્લેક્ષ નજીક આઈપીએલની મેચ પર સટ્ટાબાજી ચાલતી હોવાની બાતમી મળતા પોલીસ ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. ત્યારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની ટી-20 મેચ પર સટ્ટો રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી બાબરામાં રહી હેર કટીંગનો ધંધો કરતો સંદિપ અરવિંદભાઇ બગથળીયા (ઉ.વ.37) તથા લોન્ડ્રીનું કામકર્તા અલ્પેશ જનકભાઇ વાળા (ઉ.વ.42) ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજકોટ રહેતા અને મૂળ પીપળીયા ગામનો હરેશ પીલુકીયા અને બાબરાના ધમભાઈ બસીયા અને વિવેક પ્રવિણભાઇ પોપટ સહિત ત્રણ શખ્સો પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 10500 રોકડા અને મોબાઇલ ફોન મળી કુલ 28500નો મુદ્દામાલ કબજે કર્યા છે. આ મામલે પોલીસે અરવિંદભાઇ બગથળીયા, અલ્પેશ જનકભાઇ વાળા, હરેશ પીલુકીયા, ધમભાઇ બસીયા અને વિવેક પ્રવિણભાઇ વિરુધ્ધ ફરિયાદ આપ્યા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

નાસતો ફરતો ‎આરોપી ઝડપાયો:પત્નીને ત્રાસ આપી 3 વર્ષથી ફરાર શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપ્યો

રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે 21 એપ્રિલ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતની સૂચના અને એલસીબી પીઆઈ સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્ક્વોર્ડએ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શારીરિક-માનસિક ત્રાસના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર શખ્સને અમદાવાદથી ઝડપી લીધો હતો. અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે પાનસડાના રમેશ મુળાભાઇ સોંધરવા (ઉ.વ. 43) ને ઝડપી પાડ્યો છે. રમેશ સોંધરવા પોતાની પત્નીને લગ્ન જીવન દરમિયાન નાની નાની બાબતોમાં અવાર-નવાર મેણા-ટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. જોકે, તેમજ મહિલાને ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તેની સામે બાબરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના બાદ તે પોતાની ધરપકડ ટાળવા માટે ફરાર હતો. જેના પગલે કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઈ એન.જી. સાપરા અને તેમની ટીમે રમેશ સોંધરવાને બાતમીના આધારે અમદાવાદથી ઝડપી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

વનમંત્રીને રજૂઆત:ઉનાળા વેકેશન પૂર્વે નવી આકર્ષક વ્યવસ્થા ઉભી કરવા વનમંત્રીને રજુઆત કરવામાં આવી

અમરેલી જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ માટે વધુ આકર્ષક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે દિપડાની વ્યવસ્થા શરૂ કરવાની માંગ ઉઠી છે. ધારી સફારી પાર્ક ખાતે દીપડાને પણ લાવવાની માંગે જોર પકડ્યું છે. હાલ પાર્કમાં મુલાકાતીઓ મુખ્યત્વે સિંહ અને હરણનું નિરીક્ષણ કરી શકે છે, પરંતુ જો દિપડાને પણ અહીં રાખવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે રાજુલાના પૂર્વ વાઈલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઈ લહેરી દ્વારા ગુજરાત રાજ્યના ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વનમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં શાળા અને કોલેજોમાં ઉનાળાની રજાઓ શરૂ થવાની હોવાથી આ સમયગાળામાં પાર્કમાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે. આંબરડી સફારી પાર્ક ખાતે દિપડાને રાખવા માટે જરૂરી પાંજરાં પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યા છે. જો આ ઉનાળાની રજાઓ શરૂ થાય તે પહેલા દિપડાની સુવિધા શરૂ કરવામાં આવે તો પ્રવાસીઓ માટે પાર્ક વધુ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. તેમજ પાર્કમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સાથે આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક વેપારીઓ અને ધંધાર્થીઓને પણ રોજગાર અને આવકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈને ઉનાળા વેકેશન પહેલાં આ સુવિધા શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

વેધર રિપોર્ટ:અમરેલીમાં કાળઝાળ ગરમી, પારો 40 ડિગ્રીને પાર

અમરેલીમાં એપ્રિલ મહિનાના મધ્યમાં જ આકરો તાપ પડી રહ્યો છે. જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. આજે અમરેલીમાં મહત્તમ તાપમાનનો પારો 40.3 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમી પડી હતી. અમરેલીમાં આજે લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી નોંધાયું હતું. આમ દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. જો કે માત્ર ગરમી જ નહીં પણ હવામાં 67 ટકા ભેજ નોંધાવાને કારણે અમરેલીવાસીઓ અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. અમરેલીમાં દિવસ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 5.9 કિલોમીટરની રહી હતી. પવનની ગતિ ઓછી હોવાથી અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીની તીવ્રતામાં વધારો અનુભવાયો હતો. જો કે સવારે વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ બપોરના સમયે આકરો તાપ પડ્યો હતો. હવામાન વિભાગે અમરેલીમાં 19 અને 20 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

અભયમે મનમેળ કરાવ્યો:મોરબીમાં મામૂલી બાબતે પતિ સાથે ચણભણ થતાં અહીં રહેવું જ નથી તેવું વિચારી પત્ની ઘર છોડીને નીકળી ગઇ

મોરબીમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી વાતમાં મનમેળ ન થવાથી પત્ની પતિને છોડીને ઘરેથી નીકળી ગઈ હતી. પતિએ શોધખોળ કરવા છતાં ભાળ ન મળતા પોલીસમાં ગુમસુદા નોંધાવી હતી. દરમિયાન પત્નીને એક જાગૃત નાગરિકની મદદથી 181 ટીમનો ભેટો થઈ જતા અભયમ ટીમે સમજાવી પતિ પત્ની વચ્ચે સુમેળ કરાવ્યો હતો. મોરબીમાં 181 અભય મહિલા હેલ્પલાઇન પર જાગૃત નાગરિક દ્વારા જાણ કરાઇ હતી. એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી છે અને મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી સ્થળ પર પહોંચી અને મહિલાને સાંત્વના આપી અને કાઉન્સેલિંગ શરૂ કર્યું. મહિલાએ જણાવ્યું કે પતિ સાથે થયેલા મનમેળના અભાવે તે ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ટીમે મહિલાને સમજાવી અને આવી પરિસ્થિતિમાં ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી. મહિલાના જણાવેલા સરનામે પહોંચી ટીમે તેના પતિ સાથે પણ વાતચીત કરી. પતિએ પત્નીને શોધવા આસપાસ અને ઓળખીતાઓમાં પૂછપરછ કરી રહ્યા હતા અને માહિતી ન મળતાં પોલીસમાં ગુમ થયાની અરજી પણ કરી હતી. અભયમના પાયાના સિધ્ધાંતો કાઉન્સેલિંગ દ્વારા સમાધાન : દંપતી વચ્ચે વાતચીત કરાવી, સમસ્યાનો મૂળ સુધી પહોંચી ઉકેલ લાવવા. ભાવનાત્મક સપોર્ટ : માત્ર કાયદાકીય નહીં, પણ માનસિક અને લાગણીસભર સહાય આપવી ઘર બચાવવાનો પ્રયાસ : દરેક કેસમાં પરિવાર તૂટે નહીં એ માટે ખાસ ધ્યાન આપવું ટીમ વર્ક : પોલીસ, કાઉન્સેલર અને સમાજના સહયોગથી સંકલિત પ્રયાસ સાધવા. એકલી રહ્યા પછી પત્નીને ઘર અને પતિની કિંમત સમજાઇ181 ટીમે બંને પતિ-પત્નીને યોગ્ય માર્ગદર્શન આપ્યું, જેમાં ઝઘડા ટાળવા અને એકબીજાની કાળજી રાખવા માટે સમજાવ્યું. મહિલાએ પણ ખાતરી આપી કે હવે પછી તે પતિને જાણ કર્યા વગર ક્યારેય ઘર છોડશે નહીં. અંતે બંને ફરી સાથે રહેવા તૈયાર થયા. આ રીતે 181 અભયમ ટીમે મહિલાનું તેના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું. મહિલાના પતિએ ટીમનો આભાર વ્યક્ત કરી તેમને સલામત રીતે ઘરે પહોંચાડવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મહિલા અનામત બિલ લોકસભામાં નામંજૂર; હોર્મુઝ સ્ટ્રેટ ખુલતાં દુનિયાએ રાહતનો શ્વાસ લીધો, ખેડામાં 9 શખસોનો સગીરા પર ગેંગરેપ

નમસ્તે, મોટા સમાચારોમાં જોઈએ તો દેશની જેના પર નજર હતી કે મહિલા અનામત બિલ લોકસભામાં નામંજૂર થયું છે. વિપક્ષે પ્રચંડ વિરોધ કર્યો હતો અને બિલની વિરુદ્ધમાં વધારે મત પડ્યા હતા. આ પછી બીજા બે બિલ સંસદમાં નહીં લાવવા માટે સરકારે નિર્ણય કર્યો છે ઈરાનના વિદેશ મંત્રીએ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણ ખોલવા માટે જાહેરાત કરતાં દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદનો મિનાર તોડી પાડવામાં આવ્યો હતો અને આસપાસના દબાણો પણ તોડાયાં હતાં. ગુજરાતના ખેડામાં લવજેહાદનો હચમચાવતો બનાવ બન્યો છે, જેમાં સગીરાને લવ જેહાદમાં ફસાવીને 9 શખસોએ ગેંગરેપ કર્યો હતો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. તમિલનાડુમાં રાહુલ ગાંધી ત્રણ સભા ગજવશે 2. હજ યાત્રાળુઓનો પહેલો જથ્થો સાઉદી અરેબિયા જવા રવાના થશે 3. લોકસભામાં મહિલા બિલ નામંજૂર થયા બાદ લોકસભા આગળ વધશે કાલના મોટા સમાચારો 1. મહિલા અનામત બિલ 54 મતોથી નામંજૂર:પાસ થવા માટે 352 જોઈતા હતા, મળ્યા 298; મોદી સરકાર બિલ પાસ કરાવવામાં પહેલીવાર નિષ્ફળ લોકસભામાં મહિલા અનામત બિલ સંબંધિત ત્રણ બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં સરકાર નિષ્ફળ રહી. 21 કલાકની ચર્ચા પછી બંધારણીય સુધારા બિલ પર પહેલા મતદાન થયું. બંધારણ (131મો) સુધારા બિલ, 2026. જેમાં બેઠકોની સંખ્યા 850 સુધી વધારવાની જોગવાઈ હતી, તેના પક્ષમાં 298 મત અને વિરોધમાં 230 મત મળ્યા. લોકસભામાં 528 સાંસદોએ મતદાન કર્યું. બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. 528 માંથી બે તૃતીયાંશ મત 352 થાય છે. પરિણામે બિલ 54 મતોથી પસાર થઈ શક્યું નહીં. ત્યારબાદ સરકારે બાકીના બે બિલ - બંધારણ બિલ 2026 માં સીમાંકન સુધારો અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ 2026 પર મતદાન કરવાનો ઇનકાર કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યું, કોમર્શિયલ જહાજો પસાર થશે:લેબનોનમાં યુદ્ધવિરામ બાદ નિર્ણય; ટ્રમ્પ બોલ્યા- આભાર, પરંતુ ઈરાનની નાકાબંધી ચાલુ રહેશે ઈરાને કહ્યું છે કે યુદ્ધવિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું રહેશે અને જહાજોને સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે. વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અનુસાર, આ સમયગાળા દરમિયાન તમામ કોમર્શિયલ જહાજોને પસાર થવાની મંજૂરી અપાશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાણકારી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પોતાના એનરિચ્ડ (સંવર્ધિત) યુરેનિયમનો ભંડાર અમેરિકાને સોંપવા માટે તૈયાર થઈ ગયું છે. એનરિચ્ડ યુરેનિયમનો ઉપયોગ પરમાણુ હથિયારો બનાવવા માટે થાય છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને એમ પણ કહ્યું કે બંને દેશ શાંતિ સમજૂતીની ખૂબ નજીક છે. તેમણે કહ્યું કે જો આ ડીલ થઈ જાય છે તો તેલનો પુરવઠો શરૂ થઈ જશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ:અલાહાબાદ હાઈકોર્ટ કહ્યું- 'બેવડી નાગરિકતા મામલે CBI તપાસ કરે', રાહુલ UKમાં મતદાર હોવાનો અરજદારનો દાવો અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેવડી નાગરિકતા સંબંધિત કેસમાં શુક્રવારે લખનઉ બેન્ચમાં સુનાવણી થઈ. આ કેસ નીચલી અદાલતના તે નિર્ણય વિરુદ્ધ છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગને ફગાવી દેવામાં આવી હતી. યુપી સરકાર તરફથી વકીલે કહ્યું કે આ સમગ્ર પ્રકરણની તપાસ CBI કરે. આના પર જજે મંજૂરી આપતા કહ્યું કે FIR નોંધીને કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. હવે FIR નોંધાયા બાદ પ્રકરણની તપાસ CBI કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો:જુમ્માના દિવસે જ કાર્યવાહી, બાકીનો ભાગ બુલડોઝરથી તોડાઈ રહ્યો છે; DM- SP પહોંચ્યા, ભીડને દૂર કરી ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હેઠળ વહીવટીતંત્ર દ્વારા ગૌસુલવારા મસ્જિદનો ૩૫ ફૂટ ઊંચો મિનાર તોડી પાડવામાં આવ્યો છે. તળાવની જમીન પર બનેલી આ મસ્જિદ તોડવા માટે હાઈડ્રા મશીનનો ઉપયોગ કરાયો હતો. શુક્રવારે બપોરે 1:30 વાગ્યે સંભલમાં એક મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનારો તોડી પાડવામાં આવ્યો હતો. બુલડોઝર હવે મસ્જિદના બાકીના ભાગોને તોડી રહ્યા છે. આ પહેલા સવારે 9:30 થી 1 વાગ્યાની વચ્ચે મસ્જિદની બહારની પાંચ દુકાનો તોડી પાડવામાં આવી હતી. વહીવટીતંત્રે મસ્જિદના મિનારાને તોડી પાડવા માટે બે હાઇડ્રા મશીનો બોલાવ્યા હતા. એક કામદાર મિનારા પર ચઢ્યો, દોરડું બાંધ્યું અને પછી બીજો છેડો બંને હાઇડ્રા મશીનો સાથે જોડી દીધો. ત્યારબાદ મશીનોએ મિનારાને નીચે ખેંચી લીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૌથી મોટી તપાસ શરૂ:7 પૂર્વ PM, 3 રાષ્ટ્રપતિ, રાજાની સંપત્તિની તપાસ, 100 મંત્રી અધિકારીઓ પણ તપાસના દાયરામાં નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન બાલેન શાહની સરકારે 5 સભ્યોની ન્યાયિક પેનલ બનાવી છે, જે 2006 થી લઈને 2025-26 સુધી જાહેર પદો પર રહેલા લોકોની સંપત્તિની તપાસ કરશે. આ તપાસના દાયરામાં 2005-06 પછીના તમામ 7 વડાપ્રધાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ગિરિજા પ્રસાદ કોઈરાલા, પુષ્પ કમલ દહલ, માધવ કુમાર નેપાળ, ઝલનાથ ખનાલ, બાબુરામ ભટ્ટરાઈ, કેપી શર્મા ઓલી અને શેર બહાદુર દેઉબાનો સમાવેશ થાય છે. આ સાથે જ બે વચગાળાની સરકારોના પ્રમુખ ખિલરાજ રેગ્મી અને સુશીલા કાર્કી પણ તપાસના દાયરામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ખેડામાં લવજેહાદમાં ફસાવી સગીરા પર ત્રણ વર્ષ સુધી ગેંગરેપ:ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 9 શખ્સોએ આચર્યું કૃત્ય, 8ની ધરપકડ ખેડા જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી એક સગીરા પર નવ નરાધમો દ્વારા આચરવામાં આવેલા અત્યાચારનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની શરૂઆત બે વર્ષ પહેલા થઈ હતી, જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પરવેઝે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી તેના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયોના આધારે તેણે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બાયડમાં CMનું હેલિકોપ્ટર બગડ્યું:કોંગ્રેસના લોકશાહી બચાવો ધરણાં, અમદાવાદ-સુરતમાં ભાજપ ઉમેદવારોને ભાગવું પડ્યું અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાયડ હેલિપેડ પર ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ક્ષતિ જણાતા પાયલોટે સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો. આ સ્થિતિમાં મુખ્યમંત્રીએે તેમનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કર્યો હતો. ગઇકાલે(16 એપ્રિલ) ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે થયેલી બબાલો બાદ આજે રાજ્યભરમાં કોંગ્રેસે લોકશાહી બચાવો ધરણાં કર્યા હતા. અમદાવાદ અને સુરતમાં જનતાનો ઉગ્ર રોષ જોતા ભાજપના ઉમેદવારોએ ભાગવું પડ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચાર ચોપડી ભણેલા ગુજરાતીની ચાર-ચાર પત્ની!:50 તોલા સોનાના દાગીના પહેરીને ફરતો, ફિલ્મ સ્ટારોને બનાવ્યા નિશાન, પત્નીને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકી સેનાએ 12 વર્ષ પછી સીરિયા છોડ્યું:સૈનિકો જોર્ડન પાછા ફર્યા, સરકારે કહ્યું- હવે દેશમાં એક જ વહીવટ ચાલશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાજપ નેતાની હત્યામાં કર્ણાટક કોંગ્રેસ MLAને આજીવન કેદ:2016ના કેસમાં વિનય કુલકર્ણી સહિત 17ને સજા; CBIએ તપાસ કરી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ મસ્ક, એશિયામાં અદાણી:બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સની યાદી જાહેર, મુકેશ અંબાણી રુ. 8.42 લાખ કરોડ સાથે 19માં ક્રમે વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : મેદાનમાં હાર્દિક-બુમરાહ વચ્ચે તુતુ-મેંમેં થઈ, રોહિત પણ અકળાયો:શ્રેયસના શાનદાર કેચથી પંડ્યા આઉટ, રધરફોર્ડનું બેટ તૂટ્યું વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ શનિદેવની આંખો પર કપડું બાંધીને ચોરી ઓડિશાના બાલાસોરમાં એક ચોર મંદિરમાં ઘૂસ્યો. તેણે શનિદેવની આંખો પર કાળો કપડું બાંધ્યું અને પછી ચાંદીનો મુગટ, સોનાનું લોકેટ અને બીજા ઘણા ઝવેરાત લઈને ભાગી ગયો. લોકો કહે છે કે ચોરે પાપથી બચવા માટે આવું કર્યું હતું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: અમેરિકાના ટોપ સાયન્ટિસ્ટ ટપોટપ ગૂમ:પરમાણુ સિક્રેટ જાણનારા 10 મોટા માથાં ગાયબ, ફોન-ચશ્મા અને પર્સ ભૂલવાની 3 ડરામણી પેટર્ન, રશિયા-ચીન કનેક્શન પર સવાલ 2. ભાસ્કર સિરીઝ : કોર્ટે આસારામને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા કરી: ભક્તો જેલની બહારની ધૂળ માથે ચડાવતા, આસારામનું અડેલું પાણી ચરણામૃત તરીકે પીતા, જુઓ એપિસોડ-39 3. ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘હિન્દી અમારા પર બોજ, તમિળ અમારી માતા’:સ્ટેશનના નામ પર કાળી શાહી, તમિળ લોકો બોલ્યા- જે હિન્દી લાદશે, તમિલનાડુ તેને રિજેક્ટ કરશે 4. આજનું એક્સપ્લેનર:આસિમ મુનીરે ઈરાન સાથે ડીલ કરી, શાહે઼બાઝ સાઉદી પાસેથી 18 હજાર કરોડ લઈ આવ્યા; પાકિસ્તાન બંને પક્ષો પાસેથી કેવી રીતે ફાયદો ઉઠાવી રહ્યું છે? 5. ફિલ્મી ફેમિલી : આશાતાઇ સ્કૂટર પર અમદાવાદ ફર્યા:અમદાવાદીને ગાળો આપવાની ના પાડી,'હાકરનો કટકો...'નો અર્થ સમજ્યા નહીં; 'માડી તારું...' ગાતાં રડી પડ્યાં 6. MATCH મસાલા : ગ્રાઉન્ડ પર બબ્બે ગર્લફ્રેન્ડ દેખાઈ!:કોહલી કઈ સુંદરીની પોસ્ટ 'LIKE' કરી આવ્યો?; બુમરાહની બૂમ પડી ગઈ, જુઓ VIDEO કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:વૃષભ, ધન અને મકર રાશિને વેપારમાં પ્રગતિ થશે, મીન જાતકોના ઘરે પારણું બંધાશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:00 am

સરકારી કામ માટે પણ લાંચ માંગી:કોર્ટનું વોરંટ બજાવવા માટે અમરાઈવાડી પોલીસ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે 3000 માગ્યા, વચેટીયાની ધરપકડ

અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વોરંટ બજવણીના બદલામાં રૂ. 3,000ની લાંચ માંગવાના પ્રકરણમાં એસીબીએ એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે પ્રજાજન મારફતે લાંચ માંગી હતી. એસીબીએ છટકું ગોઠવી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર ઘટના?ફરિયાદીના સગા વિરુદ્ધ નેગોશિયેબલ એક્ટની કલમ-138 મુજબ લાલદરવાજા કોર્ટમાંથી ત્રણ વોરંટ નીકળ્યા હતા. આ વોરંટની બજવણી કરવા માટે ફરિયાદી અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર અને હોમગાર્ડ કેતન જોષીએ વોરંટની બજવણી કરવાના બદલામાં રૂ. 3,000ની લાંચની માંગણી કરી હતી. એસીબીનું છટકું ગોઠવી વચેટિયાને ઝડપી પાડ્યોલાંચની રકમ સીધી સ્વીકારવાને બદલે પોલીસ કર્મચારીઓએ ફરિયાદીને આ નાણાં વિષ્ણુ પટેલ નામના એક પ્રજાજન (વચેટિયા) ને આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન હોમગાર્ડ કેતન જોષીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. હેડ કોન્સ્ટેબલના કહેવાથી વિષ્ણુ પટેલે રૂ. 3,000ની લાંચ સ્વીકારી હતી. રકમ સ્વીકારતા જ એસીબીએ વિષ્ણુ પટેલને રંગેહાથ ઝડપી લીધો હતો. ફરાર પોલીસ કર્મચારીઓની શોધખોળ શરૂએસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર, હોમગાર્ડ કેતન જોષી અને વચેટિયા વિષ્ણુ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર પોલીસ કર્મચારીઓની શોધખોળ અને વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:05 am

પ્રેમમાં અંધ સગીરાએ માતાની સોપારી આપી:પ્રેમીએ મિત્રો સાથે મળી મહિલાનું ગળું દબાવી હત્યા કરી, મૃતદેહ 18 કિમી દૂર તળાવમાં ફેંક્યો; 6ની ધરપકડ

મહીસાગર જિલ્લાના કોઠંબા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ તળાવમાંથી મળી આવેલી મહિલાની લાશના રહસ્ય પરથી પોલીસે પડદો ઊંચક્યો છે. જે ઘટના પ્રથમ દૃષ્ટિએ અકસ્માત લાગતી હતી, તે હકીકતમાં એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ હત્યાનું કાવતરું મૃતકની સગીર વયની દીકરીએ જ તેના પ્રેમી સાથે મળીને રચ્યું હતું. ઘટનાની પૃષ્ઠભૂમિ અને હત્યાનું કારણપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતી મૃતક મહિલાની સગીર દીકરીને કમલેશ બારીયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. માતાએ દીકરીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા, જે દીકરી અને તેના પ્રેમીને મંજૂર નહોતું. કમલેશે આ લગ્નમાં અવરોધ પણ ઊભો કર્યો હતો. અંતે, પોતાની પસંદગીના લગ્ન કરવા માટે દીકરીએ પોતાની માતાને જ રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી અને તેના પ્રેમીને ઉશ્કેર્યો. ખેતરમાં બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરીઆ ગુનાહિત કાવતરામાં કમલેશ અને તેના મિત્રો ઉપરાંત મૃતક મહિલાના પરિચિત જયેશ પટેલિયાએ પણ સાથ આપ્યો હતો. જયેશને પણ મહિલા સાથે વ્યક્તિગત અદાવત હતી. જયેશની મદદથી મહિલાને રાત્રિના સમયે બાજરીના એક ખેતરમાં બોલાવવામાં આવી હતી. ખેતરમાં એકઠા થયેલા આરોપીઓએ મહિલાની બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ ગુનાને છુપાવવા અને તેને અકસ્માતમાં ખપાવવા માટે, આરોપીઓ લાશને મોટરસાયકલ પર આશરે 18 કિમી દૂર લઈ ગયા અને કમાલપુરના નાકા તળાવમાં ફેંકી દીધી. ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈજ્યારે તળાવમાંથી લાશ મળી ત્યારે ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ હતી. પંચમહાલ ગોધરા રેન્જ આઈજી વિધી ચૌધરી અને મહીસાગર એસપી સફીન હસનની સૂચના હેઠળ કોઠંબા પીઆઈ પી.આર. બલાત અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ ડીવાયએસપી કમલેશ વસાવાએ માહિતી આપી હતી કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર કમલેશ બારીયા, જયેશ પટેલિયા અને બે સગીર વયના કિશોરોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે, જ્યાં અંગત સ્વાર્થ અને આવેગમાં આવીને એક દીકરીએ જ પોતાની માતાની હત્યા જેવું જઘન્ય પગલું ભર્યું. પોલીસની સતર્કતાને કારણે આરોપીઓ છૂટી શક્યા નથી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:05 am

UK સરકાર માનવતા ચૂકી:પ્લેન દુર્ઘટના પીડિત ગુજરાતીને તાત્કાલીક દેશ છોડવાનો આદેશ, યુવાને ગળગળા થઇ ભાસ્કરને જણાવી આપવીતી

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પત્ની અને 2 વર્ષની માસૂમ દીકરીને ગુમાવનારા ગુજરાતી યુવાનને બ્રિટિશ સરકારે તાત્કાલીક દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પત્નીના ડિપેન્ડન્ટ વિઝા પર લંડન ગયેલા મહંમદની વિઝા લંબાવવાની અરજી ફગાવી દેતા UK સરકારે આવા બનાવો તો બનતા રહે છે તેમ કહ્યું છે. મહંમદ શેઠવાલા અને તેની 24 વર્ષની પત્ની સાદીકાબાનુ તપેલીવાલા 5 વર્ષ પહેલાં સારી જિંદગીની આશાએ UK ગયા હતા. પ્લેન ક્રેશમાં સાદીકા અને તેની 2 વર્ષની પુત્રી ફાતિમાનું મોત નિપજ્યું હતું. મહંમદ હાલ UKમાં છે પરંતુ તેની સામે મુશ્કેલ પરિસ્થિતિ આવી પડી છે. સાદીકાના ડિપેન્ડન્ટ તરીકે મહંમદને વિઝા મળ્યાં હતા. સાદીકાના મૃત્યુ બાદ હવે મહંમદને 22 તારીખ સુધીમાં UK છોડી દેવાનું કહી દેવાયું છે. ભાસ્કરે મહંમદ સાથે વાત કરીને આપવીતી જાણી હતી. 28 વર્ષીય આ ગુજરાતી યુવાનનું પૂરૂં નામ મહંમદમિયાં મહંમદ આસિફ શેઠવાલા છે. તે મૂળ વડોદરાનો રહેવાસી છે. તેણે MS યુનિવર્સિટીમાંથી B.Com કરેલું છે. વડોદરામાં તે પોતાના મિત્રની ટ્રાવેલ કંપનીમાં નોકરી કરતો હતો. પરિવારમાં માતા-પિતા અને 2 ભાઇઓ છે. જેમાંથી એક અભ્યાસ કરે છે અને બીજો દુકાન પર બેસે છે. પત્ની ટીમ લીડર તરીકે નોકરી કરતી હતી2021માં મહંમદના નિકાહ સાદીકાબાનુ સાથે થયા હતા. 2022માં તેઓ લંડન આવ્યા હતા અને સાદીકાએ લંડનની યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસનો કોર્સ કર્યો હતો. દોઢ વર્ષના અભ્યાસ બાદ તેને 2 વર્ષના પોસ્ટ સ્ટડી વિઝા મળ્યાં હતા. જે જાન્યુઆરી 2026માં પૂરા થતા હતા. અભ્યાસ બાદ સાદીકાને એક કંપનીમાં ટીમ લીડર તરીકેની નોકરી મળી હતી. જ્યારે મહંમદ તેના પર ડિપેન્ડન્ટ હતો અને ડિપેન્ડન્ટ વિઝા પર UKમાં રહેતો હતો. 23મી જાન્યુઆરીએ તેના વિઝા પૂરા થયા હતા. UK સરકારે કહ્યું- આવા કેસ તો થતાં રહેમહંમદે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારા વિઝા પૂરા થયા બાદ મેં FLR (ફર્ધર લિવ ટુ રિમેન) માટે અરજી કરી હતી. આવો કોઇ બનાવ બને તો આપણને સપોર્ટ કરવા માટે UK સરકારે કાયદો બનાવેલો છે. જો સરકારને યોગ્ય લાગે તો તે વિઝા એક્સ્ટેન્ડ કરી દે છે. મારી અરજીનો જવાબ 9 એપ્રિલે આવ્યો. જેમાં એવું કહેવાયું છે કે આવા કેસ તો થતાં રહે છે. તમારે 14 દિવસમાં દેશ છોડવાનો છે. UK સરકારના આવા જવાબથી મહંમદ મુશ્કેલીમાં મૂકાઇ ગયો. તેણે વકીલ સાથે વાત કરી. વકીલે તેને કહ્યું કે આપણે આ કેસ કોર્ટમાં લઇ જઇશું કારણ કે આવા બનાવ દર વખતે નથી બનતા. કદાચ 22 તારીખ મારી UKમાં છેલ્લી તારીખ હશેઃ મહંમદમહંમદે કહ્યું કે, મને નથી લાગતું કે આ પહેલાં આટલા બધા લોકો એકસાથે મૃત્યુ પામ્યા હોય. વકીલ પણ એમ વિચારતા હતા કે આ કેસમાં ઇઝીલી વિઝા આપી દેશે. આ ઇન્ટરનેશનલ ન્યૂઝ છે. જેના કારણે જ ફાઇલ મૂકી હતી પણ UK સરકારે ન સ્વીકારી અને દેશ છોડવા કહ્યું છે. હવે મહંમદ પોતાના વકીલના જવાબની રાહ જુએ છે. તેણે કહ્યું કે, વકીલ આગળ ડેટ અપાવી શકે તો ઠીક છે, નહીં તો ઇન્ડિયા આવી જઇશ. અને જોબ માટે ટાટા ગ્રુપનો જોબ કોન્ટેક્ટ કરીશ. ટાટાએ મને 1 કરોડ અને એર ઇન્ડિયા એ 25 લાખ રૂપિયા આપી દીધા છે. ફાઇનલ કમ્પેન્સેશન માટે માંગેલા ડોક્યુમેન્ટ્સ 3 મહિના પહેલાં આપી દીધા છે પણ હજુ આગળ કંઇ થયું નથી. મહંમદ પહેલાં UKમાં જોબ કરતો હતો પણ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તેની જોબ જતી રહી. હવે તે UKમાં ડ્રાઇવર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. મારૂં બધું એકસાથે જતું રહ્યુંઃ મહંમદતેણે કહ્યું કે, આ બનાવ બન્યો એ પહેલા મારી વાઇફને વર્ક પરમિટ મળવાની હતી. અમે લંડન છોડીને રગ્બી ટાઉનમાં રહેવા ગયા હતા. મારી વાઇફે નવી જોબ જોઇન કરી. ત્યાં 3 મહિનાનો પ્રોબેશન પિરિયડ હોય છે. મારા ભાઇના નિકાહ હતા એટલે મારી વાઇફ મહિનાની રજા લઇને જ ગુજરાત આવી હતી. કંપનીએ મને રજા નહોતી આપી એટલે હું મારા પોતાના ભાઇના જ નિકાહમાં ભારત નહોતો આવ્યો. જ્યારે પ્લેન દુર્ઘટના બની ત્યારે હું કંપનીમાં કહ્યા વગર જ ભારત આવી ગયો હતો કેમ કે દુર્ઘટના વિશે સાંભળ્યા બાદ હું કંપનીમાં જાણ કરવા રોકાઉ તેવા કોઇ હોંશ જ નહોતા. પત્ની સાથે છેલ્લીવાર વાત પણ ન થઇભાસ્કર સાથેની વાતચીતમાં મહંમદે પ્લેન દુર્ઘટનાના દિવસને પણ યાદ કર્યો. તેણે જણાવ્યું કે, દુર્ઘટના ઘટી ત્યારે અહીં UKમાં સવારે લગભગ 8:30 વાગ્યા હતા. એ સમયે હું ઘરેથી નીકળ્યો હતો. મારી વાઇફ અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભી હતી. તેણે મને કહ્યું કે ફ્લાઇટમાં બેસીને તમને કોલ બેક કરું છું. 'એરપોર્ટ પર આપવાના ડોક્યુમેન્ટ ઓનલાઇન જનરેટ કરવાના હોય છે. વાઇફના હાથમાં અમારી દીકરી હતી તો એણે મને કહ્યું કે તમે મને જનરેટ કરીને મોકલી આપો. મેં એને અહીંથી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. એ પછી મારે તેની સાથે કોન્ટેક્ટ ન થયો કારણ કે 9 વાગ્યે હું જોબ પર જતો રહ્યો હતો. બપોરે 4:30 વાગ્યે મારે તેમને લેવા એરપોર્ટ પર જવાનું હતું.' દુર્ઘટના અંગે કેવી રીતે જાણ થઇ?મહંમદે આગળ કહ્યું, હું જોબ પર હતો ને મને વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો કે અમદાવાદથી લંડન આવતી ગેટવીક ફ્લાઇટ ક્રેશ થઇ છે. જે મિત્રએ ટિકિટ કરાવી હતી મેં તેને કોલ કર્યો તો તેણે ન ઉપાડ્યો એટલે હું ઘરે ગયો. એ મારો ફ્લેટમેટ છે. મેં તેને કહ્યું કે આવું થયું છે. તેણે તરત જ એર ઇન્ડિયામાં મેલ કર્યો અને ફોન કર્યો પણ કોઇ રિસ્પોન્સ આવ્યો નહીં. 10-15 મિનિટ પછી ન્યૂઝ મળ્યા કે મારી પત્ની અને દીકરી જે ફ્લાઇટમાં હતા એ જ ફ્લાઇટ ક્રેશ થઇ છે. ‘એ સમયે મારા બધા મિત્રો એકઠા થયા હતા. એ જ દિવસે સાંજે ફ્લાઇટ લઇને હું ઇન્ડિયા આવી ગયો. મારી દીકરી ફાતિમાનો મૃતદેહ મને 17 જૂને મળ્યો. જ્યારે વાઇફનો મૃતદેહ 22 જૂને મળ્યો હતો.’ પત્ની અને દીકરીના મૃત્યુ બાદ મહંમદનું જીવન ઘણું બદલાઇ ગયું છે. તેને મનોચિકિત્સકની મદદ પણ લેવી પડી હતી. ફોટો-વીડિયો યાદોનો સહારો બન્યાંતેણે જણાવ્યું કે, આ દુર્ઘટના બાદ મારું જીવન બદલાઇ ગયું છે કારણ કે બધી જ વસ્તુમાં હું વાઇફ પર જ ડિપેન્ડન્ટ હતો. UKમાં જ્યારે નાના છોકરા જોઉં છું ત્યારે દીકરીની બહુ જ યાદ આવે છે. પત્ની સાથે ફરવા ગયો હતો એ ફોટો-વીડિયો મૂકી રાખ્યા છે. એ જોઇને હવે સારું લાગે છે. એમ થાય છે કે જે સમય પસાર કર્યો એ સારી રીતે કર્યો. લગ્ન કર્યા પછી અમે ફરવા ગયા જ નહોતા. 'લંડનમાં આવ્યાના દોઢ વર્ષ બાદ અમે પહેલીવાર ફરવાનો પ્લાન કર્યો હતો કારણ કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડને લીધે અમે પત્નીના અભ્યાસ અને અમારી જોબ પર વધારે ફોકસ કરતાં હતા. એ પછી આઇલ ઓફ વેઈ ફરવા ગયા. એ સમયે ફાતિમા પણ 6 મહિનાની થઇ ગઇ હતી. અમે સૌથી વધારે 4 દિવસ સાથે રહ્યાં હતા. કારણ કે UKમાં અમે બન્ને જોબ કરતાં હતા. વાઇફ જોબ પર જાય ત્યારે દીકરીને સંભળાવા હું ઘરે રહું. એ આવે ત્યારે હું જોબ પર જઉં. જેથી મળવાનું બહુ ઓછું થતું.' 'ભારત આવીશ તો માનસિક સ્થિતિ બગડશે'મહંમદ કહે છે કે, મેં સાયકાટ્રિસ્ટ પણ એપોઇન્ટ કર્યો હતો. UKમાં મેડિકલ સિસ્ટમ એટલી સારી નથી. સરકારી સાયકાટ્રિસ્ટની એપોઇન્ટમેન્ટ સાતેક મહિના પછી મળશે એવું કહ્યું. જેથી મેં પ્રાઇવેટ સાયકાટ્રિસ્ટ પાસે સારવાર શરૂ કરાવી હતી. મેં એ સારવારનો રિપોર્ટ પણ અરજીની સાથે અપલોડ કર્યો હતો પણ UK સરકારે કંઇ સ્વીકાર્યું નહીં. જો હું ઇન્ડિયા આવીશ તો મને પત્ની-દીકરીની યાદ આવશે અને સ્થિતિ સારી થવાના બદલે વધારે બગડી જશે. છેલ્લે તેણે પોતાની દીકરીને યાદ કરીને ભાવુક વાત કરી. તેણે કહ્યું કે, દીકરીની તો વાત જ ન પૂછો. રાત્રે થાકીને જ્યારે ઘરે આવું ત્યારે દીકરી મને હગ કરતી, કિસ કરતી. એ બહુ યાદ આવે છે.ફાતિમા જ્યારે સવારે ઉઠતી ત્યારે તેની મમ્મી જોબ પર હોય એટલે હું તેને તૈયાર કરીને રાખતો હતો. મારા મિત્રો આજે પણ મને એકલો નથી રહેવા દેતા. હું મેસેજ કરું કે જોબ પરથી ઘરે જઉં છું તો કોઇપણ એક ફ્રેન્ડ મારી સાથે રૂમ પર આવીને રહે છે કારણ કે હું એકલો હોઉં તો તેમના ફોટો-વીડિયો જોઇને આંખોમાંથી પાણી આવી જાય છે. હવે મહંમદ સાવ એકલો પડી ગયો છે. તેને કોર્ટમાંથી રાહત નહીં મળે તો પત્ની-દીકરી સાથે જોડાયેલી યાદોને લંડનમાં જ છોડી ભારત પરત આવવું પડશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:05 am

હર્ષ સંઘવીએ સાયલામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા:વિકાસ સંકલ્પ સભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર ભાર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની મુલાકાત લીધી હતી. તેમણે સાયલા સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધિત કરી હતી. આ મુલાકાત સ્થાનિક સ્વરાજ્યની 2026માં યોજાનારી ચૂંટણીઓના પડઘમ વચ્ચે થઈ હતી, જે રાજકીય ગતિવિધિઓનો સંકેત આપે છે. આ સભામાં લીંબડીના ધારાસભ્ય, સંગઠન મંત્રીઓ અને ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંઘવીએ દરેક વિસ્તારમાં 100 ટકા મતદાન થાય તે માટે લોકોને આહ્વાન કર્યું હતું. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બને તેવી ટકોર પણ કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 11:45 pm

IPL 2026, GT vs KKR : ગુજરાત ટાઈટન્સની કોલકાતા સામે શાનદાર જીત, ગિલ-રબાડાનું દમદાર પ્રદર્શન

IPL 2026, Gujarat Titans vs Kolkata Knight Riders : આઈપીએલ-2026માં આજે કેપ્ટન શુભમન ગીલની દમદાર બેટિંગ અને કાગીસો રબાડાની ધારદાર બોલિંગના કારણે ગુજરાત ટાઈટન્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગમાં ઉતરેલી કોલકાતાની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં 181 રન નોંધાવી વિજય મેળવી લીધો છે. આ સાથે ગુજરાતે અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમીને ત્રણ મેચ જીતી લીધી છે. કેમરોન ગ્રીનની વિસ્ફોટ બેટિંગ એડે ગઈ

ગુજરાત સમાચાર 17 Apr 2026 11:26 pm

ભાણેજે કરી મામાના ઘરમાં દાગીનાની ચોરી:માણાવદરના રોણકી ગામે સગી ભાણેજે જ મિત્ર સાથે મળી મામાના ઘરે હાથફેરો કર્યો, રૂ. 2.20 લાખના દાગીનાની ચોરીમાં બે યુવતીઓની ધરપકડ.

​જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ સામે આવી છે કે, ફરિયાદીની સગી ભાણેજે જ પોતાની બહેનપણી સાથે મળીને મામાના જ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં બંને યુવતીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધી છે. ​રોણકી ગામે રહેતા અને ખેતમજૂરી કરતા દિનેશભાઇ સોલંકીના મકાનમાં ગત તારીખ 12/04/2026ના રોજ દિવસ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. જ્યારે પરિવાર કામ અર્થે બહાર હતો, ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી સોનાનો હાર, પેન્ડલ સેટ, સોનાની બુટ્ટી, વીંટી અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2,20,500ની મતાની ચોરી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ​પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ચોરીમાં જેતપુરની તનિષા કટારીયા અને વાડલા ગામની તૃપ્તિ ચાવડા સંડોવાયેલી છે. જેતપુર અને વાડલા ખાતે દરોડા પાડી પોલીસે બંને યુવતીઓની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં યુવતીઓએ ગલ્લાતલ્લા કર્યા હતા, પરંતુ પોલીસની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ સામે તેઓ ભાંગી પડ્યા હતા અને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલી યુવતીઓ પૈકી તનિષા ફરિયાદી દિનેશભાઇની સગી ભાણેજ હોવાનું ખુલ્યું છે. ​તપાસમાં જાણવા મળ્યું છે કે, તનિષા અવારનવાર તેના મામાના ઘરે આવતી હોવાથી તેને ઘરની તમામ પરિસ્થિતિ અને કિંમતી દાગીના ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી હતી. આ તકનો લાભ લઈને તેણે પોતાની મિત્ર તૃપ્તિ સાથે મળીને આ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. મામાના વિશ્વાસનો લાભ લઈને ભાણેજે જ ઘરમાં ગાબડું પાડતા પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.​પોલીસે આરોપીઓ પાસેથી સોનાની વીંટીઓ, સોનાના દાણા, ચાંદીની કડલીઓ, સાંકળા, સિક્કા અને રાખડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં બંને યુવતીઓની ધરપકડ કરી બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. માણાવદર પોલીસની આ ત્વરિત કામગીરીથી વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 11:13 pm

સરકારી હોસ્પિટલની મહિલા કર્મચારીનો આપઘાત:નોકરીમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

​જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવાર અને હોસ્પિટલ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાસ વાત એ છે કે, મહિલાએ આજે સવારે જ પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ઘરે આવી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. રાજીનામું આપ્યા બાદ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી​જૂનાગઢના મધુરમ વિસ્તારમાં અલ્ટ્રા સ્કૂલ પાસે મંગલધામ-1 વિસ્તારમાં રહેતા સુધાબેન વિજયભાઈ સોલંકી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પટાવાળા તરીકે સરકારી સેવા આપતા હતા. આજે સવારે તેઓ હંમેશ મુજબ પોતાની ફરજ પર ગયા હતા અને ત્યાં નોકરીમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. રાજીનામું આપ્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા અને કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો​ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક મંગલધામ ખાતેના તેમના નિવાસસ્થાને દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી, જરૂરી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ​સરકારી નોકરીમાંથી અચાનક રાજીનામું આપવું અને ત્યારબાદ તરત જ આત્મહત્યા કરી લેવી એ બાબત અનેક સવાલો ઉભા કરી રહી છે. શું મહિલા કર્મચારી પર કોઈ પ્રકારનું દબાણ હતું કે પછી કોઈ અંગત મુસીબતને કારણે આ પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલમાં આત્મહત્યા પાછળનું સચોટ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 10:52 pm

વિદેશી નાગરિકને 20 વર્ષની કેદ:અમદાવાદ એરપોર્ટ પર ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન સાથે ઝડપાઈ હતી

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતે ગીનાલેન પાડીવાન લીમોનને 4 સાહેદ અને 35 પુરાવાને આધારે 20 વર્ષની સખત કેદ અને કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન મળ્યું હતુંકેસને વિગતે જોતા વર્ષ 2024માં ફિલિપાઇન્સની મહિલા આરોપી ગીનાલેન પાડીવાન લીમોન સામે ઇમિગ્રેશન વિભાગ દ્વારા લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઇને અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન વિભાગે તેને રોકી હતી. તેની બેગ ચેક કરતા તેની બેગમાંથી 2.121 કિલો જેટલું હેરોઇન મળી આવ્યું હતું. જેથી તેની સામે NDPS એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારીકોર્ટે નોંધ્યું હતું કે, યુવાધન ડ્રગ્સના રવાડે બરબાદ થઈ રહ્યું છે, જેની અસર તેમના કુટુંબો ઉપર પણ પડી રહી છે. આરોપી વિદેશી નાગરિકે ભારતમાં કોમર્શિયલ ક્વોન્ટિટમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરી છે. ત્યારે વિશ્વમાં દાખલો બેસે તેવી સજા કરવી જરૂરી છે. આથી આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 10:19 pm

નવસારીમાં મનપા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો:વોર્ડ-2માં કોંગ્રેસનું કાર્યાલય સીલ કરાયું, ઉમેદવારે ભાજપ પર લગાવ્યો ગંદી રાજનીતિનો આક્ષેપ

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા નવસારીના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જલાલપોરના વોર્ડ નંબર 2 માં આવેલા કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને પૂર્વ મંજૂરી વિના શરૂ કરાયું હોવાનું ગણાવીને મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલતદારના આદેશથી કાર્યવાહીમાહિતી મુજબ, વોર્ડ નંબર 2 ના ગૌરીશંકર મહોલ્લામાં રામદેવપીર મંદિર પાસે કોંગ્રેસનું આ કાર્યાલય કાર્યરત હતું. મામલતદાર કચેરીને ફરિયાદ મળી હતી કે આ કાર્યાલય કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના શરૂ કરવામાં આવ્યું છે. આ ફરિયાદના આધારે મામલતદારના આદેશથી નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગે તાત્કાલિક પગલાં લઈ કાર્યાલયને બંધ કરાવ્યું હતું. ઉમેદવારનો દાવો: આ મારી ખાનગી પ્રોપર્ટી છેકોંગ્રેસના ઉમેદવાર વિપુલસિંહ બી. મકવાણા પોતાનો રોષ ઠાલવતા જોવા મળે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ જગ્યા કોઈ સામાન્ય કાર્યાલય નથી, પરંતુ તેમની પોતાની ખાનગી માલિકીની પ્રોપર્ટી (દુકાન) છે. તેમણે કહ્યું કે, પોતાની જ પ્રોપર્ટીમાં બેસવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર રહેતી નથી. બહારના ખુલ્લા સ્થળ માટે પરવાનગી લેવાની પ્રક્રિયા મામલતદાર કચેરીમાં ચાલી જ રહી છે, પરંતુ તે પહેલાં જ આ કાર્યવાહી કરી દેવામાં આવી છે. ભાજપ પર સત્તાના દુરુપયોગ અને પક્ષપાતનો આક્ષેપકાર્યાલય બંધ કરાવવાની આ કાર્યવાહીને ઉમેદવારે ભાજપનું રાજકીય કાવતરું ગણાવ્યું છે. વિપુલ મકવાણાએ સીધો આક્ષેપ કર્યો કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ભાજપના કાર્યકરો ગમે ત્યાં મંડપ બાંધી દે છે અને પ્રચાર કરે છે, ત્યારે તેમને કોઈ રોકતું નથી. પરંતુ કોંગ્રેસને ચૂંટણી પ્રચાર કરતા રોકવા અને હેરાન કરવા માટે જાણીજોઈને ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે. સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષયનોંધનીય છે કે નવસારી પાલિકાની કુલ 52 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપ પહેલેથી જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પોતાનું ચૂંટણી કાર્યાલય પણ બચાવી શકી નથી તેવી ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યું છે. પાલિકાની આ કાર્યવાહી બાદ નવસારીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે, અને કોંગ્રેસ આગામી દિવસોમાં આ મુદ્દે વધુ આક્રમક વલણ અપનાવે તેવી શક્યતાઓ છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 10:13 pm

“ભરોસા પત્ર” નામથી સંકલ્પ પત્ર જાહેર કર્યું:શહેર ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરતા ભાવનગરનો વિકાસ અવિરત શરૂ રહેશે અન્ય સ્માર્ટ સિટીની માફક વિકાસ કરવામાં આવશે - જીતુ વાઘાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંકલ્પ પત્ર રજૂ કરાયું હતું. દેશ આજે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ડબલ એન્જિનની સરકારના સહકાર સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ મજબૂત દાવેદારી નોંધાવી રહ્યું છે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી પર નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટેના ભવિષ્યના આયોજન સાથે આ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં થીમ આધારિત બગીચા, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, યુટિલિટી પોલિસી ડેવલપમેન્ટ, ટ્રાફિક પાર્ક, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્ટ્રીટ લાઇટિંગ, મોતીબાગ ટાઉનહોલ ખાતે હેરિટેજ ડાઇનિંગ હોલ, સિનિયર સિટિઝન પાર્ક, સ્માર્ટ આંગણવાડી ફેઝ-2, દિવ્યાંગો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 37 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ભાજપે ગત કાર્યકાળ દરમિયાન આપેલા વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કરતાં આ સંકલ્પ પત્રને “ભરોસા પત્ર” તરીકે રજૂ કરવામાં આવ્યું અને કહ્યું કે, લોકોનો ભાજપ પરનો ભરોસો જેમાં ભાવનગરનો વિકાસ અટકશે નહિ અને અન્ય સ્માર્ટ સીટીની માફક વિકાસ કરવા રાજ્યસરકાર કટિબદ્ધ છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ સાથે પ્રચાર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 9:51 pm

નર્મદા પંચકોશી પરિક્રમા સંપન્ન:એક મહિનામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી

રાજપીપળા: નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા 19 માર્ચથી 17 એપ્રિલ સુધી ચાલી હતી, જેનું સુખદ સમાપન થયું છે. આ એક મહિનાના સમયગાળામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમા દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ખાસ કરીને અંતિમ ચરણમાં. સમગ્ર યાત્રા કોઈ મોટી દુર્ઘટના વિના સુપેરે સંપન્ન થઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લીધો હતો. અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા પ્રમુખ સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે, આ પરિક્રમા યાત્રા સ્થાનિક રોજગારી માટે એક સારો અવસર બની રહી. નાના વેપારીઓ અને 200થી વધુ ખાનગી વાહનોને રોજગારી મળી, જેનાથી સ્થાનિક મંદિરોની આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થયો. પ્રશાસન દ્વારા લાઇટિંગ અને સ્વચ્છતાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી ભક્તો પ્રભાવિત થયા હતા. સોશિયલ મીડિયાના પ્રચારને કારણે પરિક્રમામાં ભક્તોનો ધસારો વધુ જોવા મળ્યો. શ્રદ્ધાળુઓ આગામી સમયમાં બંને બાજુ બ્રિજ તૈયાર થાય તેવી આશા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 9:46 pm

રાજકોટમાંથી વધુ બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ:લવ મેરેજ બાદ માવતર પક્ષએ બોલાવવાનું બંધ કર્યું, ડિપ્રેશનમાં પરિણીતાએ ઝેરી દવા પીધી

રાજકોટ શહેરના ઉષાબેન રવિભાઈ મહેતા (ઉં.વ. 36) એ ગઈકાલે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ઉષાબેને દોઢ વર્ષ પહેલાં પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ રવિભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉષાબેનના માવતર પક્ષને મંજૂર ન હોવાથી માતા સહિતના પિયર પક્ષના સભ્યોએ તેમની સાથેના તમામ વ્યવહારો તોડી નાખ્યા હતા. પરિવારના આ અસ્વીકારને કારણે પરિણીતા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી, જેના લીધે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટમાં ગેરકાયદે વસવાટ કરતી વધુ બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈરાજકોટ: રાજકોટ શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ રૈયા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બંને મહિલાઓ છેલ્લા દોઢ વર્ષથી કોઈ પણ કાયદેસરના આધાર પુરાવા વગર અહીં મજૂરી કામ અર્થે વસવાટ કરતી હતી. SOG દ્વારા આ બાબતે અન્ય તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને બંને મહિલાઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનામાં રાજકોટમાંથી કુલ 38 બાંગ્લાદેશી નાગરિકો (29 મહિલા, 6 પુરુષ અને 3 બાળકો) ને ઝડપી પાડી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. દાદીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સગર્ભા પત્નીને પતિએ માર માર્યોરાજકોટ: મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં રહેતી અલ્ફીઝા ઠાસરીયા નામની 25 વર્ષીય સગર્ભા મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરીમાં પ્રેમ લગ્ન કર્યા બાદ સાસુ ઘરકામ બાબતે મેણાટોણા મારતા હતા અને પતિ અન્ય યુવતીઓ સાથેના સંબંધો બાબતે ઠપકો આપતા મારપીટ કરતો હતો. તાજેતરમાં પતિ મોરબી જવાનો હોવાથી ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી અલ્ફીઝાએ તેના જંગલેશ્વર સ્થિત દાદીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાત પર ઉશ્કેરાઈને પતિ ફેઝલે 'માવતર પક્ષ સાથે સંબંધ રાખવાનો નથી' તેમ કહી પત્નીને માર માર્યો હતો અને દાદીના ઘર પાસે મૂકીને જતો રહ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે પતિ ફેઝલ અને સાસુ કુલસુમબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 9:04 pm

કોયલી ફાટક પાસે બાઇક ચાલક પર કાળમુખું ડમ્પર ફરી વળ્યું:મધુરમના 50 વર્ષીય આધેડનું કમકમાટીભર્યું મોત, અકસ્માત બાદ હાઇ-વે પર ટ્રાફિકજામ

જૂનાગઢ-વંથલી હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વંથલીના કોયલી ફાટક નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને ટક્કર મારી​જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ભાણજીભાઈ સોલંકી (ઉંમર 50 વર્ષ) પોતાના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કોયલી ફાટક નજીક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાંતિભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 50 વર્ષીય આધેડના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કર્યોઅકસ્માતની આ ઘટનાને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ હાઇવે રોડ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે તેમછતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસે હાલમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 9:00 pm

DB REELS: ચૂંટણી ટાણે રાજકીય સંગ્રામ:નેતાઓ વચ્ચે સટાસટી, કાર્યકરો બાખડ્યા, કૉંગ્રેસના પ્યાદાની પીછે હટ, સૂત્રોચ્ચાર સાથે તોડફોડ

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો. કૉંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા રોષ ભડક્યો. કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય વચ્ચે સટાસટી બોલી તો કાર્યકરોમાં છૂટા હાથની મારામારી થઈ. આ ઘર્ષણોનો રેલો સુરક્ષા સુધી પણ પહોંચ્યો. ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ વીડિયો.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 9:00 pm

MPના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ:કલાક સુધી CTM નજીક રોકીને ચા-પાણીના પૈસા માંગ્યાનો આક્ષેપ, સો.મીડિયા પોસ્ટના આધારે સાયબર DCPને તપાસ સોંપાઈ

અમદાવાદમાં અનેક બહારથી આવેલા લોકોને પોલીસનો કડવો અનુભવ થયો છે ત્યારે વધુ એક વખત મધ્યપ્રદેશથી આવેલા એક કરિયર કોચને કડવો અનુભવ થતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે જેના આધારે સાયબર ક્રાઈમ DCPને તપાસ સોંપવામાં આવી છે. પોલીસે મોબાઈલ લઈને પરમિશ વગર મેસેજ અને ફોટો ગેલેરી તપાસીમધ્યપ્રદેશના કરિયર કોચ પંકજસિંહે સોશિયલ મીડિયા મારફતે એવી ફરિયાદ કરી છે કે, તેઓ મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેરિયર કોચ તરીકે કામગીરી કરે છે અને કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા. ઓફિસમાં કામ પૂર્ણ કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે CTM નજીક એક્સપ્રેસ-વે પર આવેલી પોલીસ ચેકપોસ્ટ પર તેમને રોકવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમનો મોબાઈલ લઈને તેમની મંજૂરી વિના તેમાં રહેલા મેસેજ અને ફોટો ગેલેરી તપાસી હતી. ઉપરાંત તેમને આશરે એક કલાક સુધી અટકાવી રાખીને હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ચા-પાણીના નામે લાંચની માંગણી કરવામાં આવીઆ સાથે પોલીસ કર્મચારીઓએ તેમના મિત્રની ડાયરી તપાસીને કબુતરબાજીનો શંકાસ્પદ આરોપ પણ મૂક્યો હતો. પોલીસકર્મીઓ તેમની કારમાં બેસીને મોબાઈલ તપાસતા રહ્યા હતા, જ્યારે તેઓને રસ્તા પર ઉભા રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જો કંઈ હોય તો ‘પતાવી દેવા’ માટે કહીને ચા-પાણીના નામે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને પંકજસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મામલો વાયરલ બન્યો હતો. પોસ્ટ શહેર પોલીસના ધ્યાન પર આવતા જ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ ડીસીપી લવિનાસિંહાએ પોસ્ટના આધારે તપાસ હાથ ધરી છે. જો તેમાં તથ્ય જણાશે તો સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 8:52 pm

નવરંગપુરામાં બેંકના સેલ્સ મેનેજરે ગ્રાહકના પૈસા પડાવ્યા:નવા વાડજમાં વ્યાજખોરોએ 1 લાખ સામે 4.50 લાખ વસૂલ્યા, વાસણામાં યુકેના વિઝાના નામે 24 લાખની ઠગાઈ

અમદાવાદ શહેરમાં ગુનાખોરીના ત્રણ ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. પ્રથમ ઘટનામાં નવરંગપુરામાં એક્સિસ બેંકના એક આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરે ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરી ખાતું ખોલાવવાના નામે રૂ. 1 લાખ પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે બીજી ઘટનામાં નવા વાડજમાં વ્યાજે લીધેલા નાણાં સામે ચાર ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોરે મિત્રો સાથે મળી ફૂટપાથ પર લારી ચલાવતા વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રથમ બનાવ: બેંક મેનેજર દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડીનવરંગપુરા એક્સિસ બેંકમાં આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવેશ ભીમસુરે ગ્રાહક સૌરભભાઈ પટેલ સાથે છેતરપિંડી આચરી હતી. ઓગસ્ટ 2025માં સૌરભભાઈ નવું કરન્ટ એકાઉન્ટ ખોલાવવા આવ્યા ત્યારે ભાવેશે તેમનો વિશ્વાસ જીતી ખાતું ખોલાવવા માટે ટુકડે-ટુકડે કુલ રૂ. 1 લાખ મેળવ્યા હતા. ભાવેશે આ રકમ બેંકમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. લાંબા સમય સુધી ખાતું ન ખુલતા ગ્રાહકે બેંકનો સંપર્ક કર્યો અને આંતરિક તપાસમાં કૌભાંડ ખુલતા બેંક મેનેજર કોમલબેને ભાવેશ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજો બનાવ: વ્યાજખોરોએ 1 લાખ સામે 4.50 લાખ વસૂલ્યાનવા વાડજમાં રહેતા અને એચ.એલ. કોલેજ પાસે 'મહાલક્ષ્મી ફ્રેન્કી'ની લારી ચલાવતા હેમલ બંસીલાલ શાહે વર્ષ 2022માં ધંધા માટે જીગર અમૃતભાઈ દેસાઈ પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 1 લાખ લીધા હતા. હેમલભાઈએ અત્યાર સુધીમાં મૂડી અને વ્યાજ મળી કુલ રૂ. 4.50 લાખ ચૂકવી દીધા હોવા છતાં જીગર દેસાઈ વધુ નાણાંની કડક ઉઘરાણી કરતો હતો. જીગર દેસાઈ 'તારીખ વીત્યા બાદ ડબલ વ્યાજ' માંગતો હતો. ગત 31 જાન્યુઆરીએ જીગર દેસાઈ તેના મિત્ર યશ રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સો સાથે લારી પર પહોંચ્યો હતો અને હેમલભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હેમલ શાહે આ મામલે જીગર દેસાઈ અને યશ રબારી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રીજો બનાવ: યુકેના વિઝા માટે બનાવટી ડોક્યુમેન્ટ આપી 24.50 લાખની ઠગાઈવાસણામાં રહેતા અને કન્સલ્ટન્ટનો ધંધા કરતા નિરવભાઇ શાહ સાથે વિઝાના નામે લાખોની છેતરપિંડી થઈ છે. નિરવભાઇએ તેમના એક ગ્રાહક કૃપાબેન પટેલના યુકે વિઝા માટે નડિયાદના ક્રિશ ઓવરસીસના અર્પણ મધુકર અને અમિત પટેલનો સંપર્ક કર્યો હતો. વિઝા પ્રક્રિયા માટે નિરવભાઇએ બંનેને કુલ રૂ. 24.50 લાખ ચૂકવ્યા હતા. જોકે, આ ઠગબાજોએ મોકલેલા વિઝા સર્ટિફિકેટ અને સીઓએસ (C.O.S) લેટરમાં ગ્રાહકની શૈક્ષણિક વિગતો ખોટી અને બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું. રૂપિયા પરત માંગવા છતાં ઠાગાઠૈયા કરતા હોવાથી નિરવભાઇએ બંને શખ્સો વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 8:43 pm

કલેક્ટરે EVM સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી:લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 મુક્ત અને પારદર્શક માહોલમાં યોજાય તે માટે તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અર્પિત સાગરે લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતેના EVM સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત EVMની સુરક્ષા અને જાળવણી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે હતી. કલેક્ટરે સ્ટ્રોંગરૂમની સુરક્ષા વ્યવસ્થા, 24x7 સીસીટીવી મોનિટરિંગ, પોલીસ બંદોબસ્ત અને ફાયર સેફ્ટી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ EVM મશીનોની સુરક્ષિત જાળવણી અને હેરફેર માટેના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા નોડલ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર માટે ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ જાળવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ સમીક્ષા મુલાકાત દરમિયાન લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ અને અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 8:42 pm

માધવગઢમાં દીવાલના કાટમાળ નીચે દબાતા 11 વર્ષીય બાળકનું મોત:ગાંધીનગર જિલ્લામાં સરકારી શાળાની દીવાલ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે સવાલો

ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામે આજે એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત દીવાલ પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 11 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલા માસૂમ બાળક પર દીવાલ કાળ બનીને ત્રાટકતા સમગ્ર પંથકમાં શોકની લાગણી જન્મી છે, સાથે જ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો?માધવગઢમાં રહેતા સૂર્યસિંહ રાઠોડનો પુત્ર રઘુનંદન (ઉં.વ. 11), જે તે જ શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતો હતો, તે બપોરના સમયે તેના ત્રણ-ચાર મિત્રો સાથે જૂની અને જર્જરિત પ્રાથમિક શાળાના પટાંગણમાં ક્રિકેટ રમવા ગયો હતો. રમત દરમિયાન અચાનક શાળાની એક દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જેમાં રઘુનંદન કાટમાળ નીચે દબાઈ ગયો હતો, જ્યારે અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોએ કાટમાળ ખસેડી બાળકને બહાર કાઢ્યોદીવાલ પડવાનો અવાજ સાંભળીને દોડી આવેલા ગ્રામજનોએ તાત્કાલિક કાટમાળ ખસેડી રઘુનંદનને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રની બેદરકારી સામે સવાલોઆ દુર્ઘટનાએ સરકારી તંત્રની ઢીલી નીતિને ખુલ્લી પાડી દીધી છે. શાળાનું બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું. તંત્રએ બિલ્ડિંગ તોડી પાડવાની મંજૂરી આપી દીધી હતી અને અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ હતી. તેમ છતાં, ભયજનક બિલ્ડિંગને સમયસર તોડી પાડવામાં કે તેની આસપાસ રક્ષણાત્મક ફેન્સિંગ કરવામાં ન આવતા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 8:27 pm

4 વર્ષ પહેલા 2 માસૂમ બાળકોની હત્યાનો કેસ:કાલાવડના પીઠડીયા-1માં કૂવામાં ફેંકીની જનેતાએ મોતને ઘાટ ઉતાર્યા, કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદ ફટકારી

જામનગરના કાલાવડ તાલુકાના પીઠડીયા-1 ગામમાં 4 વર્ષ પહેલા પોતાના 2 માસૂમ બાળકોને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારનાર માતાને અદાલતે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. 2022માં ગુનો આચર્યોપીઠડીયા-1 ગામમાં ખેતમજૂરી કરતા શ્રમિક બદીયા પલાસની પત્ની ચકુબેન (ઉંમર 26) એ 17 ઓક્ટોબર 2022ના રોજ આ ખોફનાક પગલું ભર્યું હતું. આરોપી મહિલાએ પોતાના 5 વર્ષના પુત્ર દેવરાજ અને માત્ર 3 મહિનાની પુત્રી રીયાને ખેતરના કૂવામાં ફેંકી દીધા હતા. પાણીમાં ડૂબી જવાથી બંને બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. ઘટના બાદ મહિલા પણ લાપત્તા થઈ ગઈ હતી. જોકે, બીજા દિવસે કૂવામાં બાળકોના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી બાળકોની હત્યાના આરોપસર ચકુબેનની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી હતી. અદાલતનો ચુકાદોઆ કેસ જામનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ભારતી વાદીની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એસ.એમ. ક્રિષ્ટીએ આરોપી મહિલાને દોષિત જાહેર કરી હતી. અદાલતે માનવતાને શરમાવતી આ ઘટનામાં કડક વલણ અપનાવી મહિલાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 8:24 pm

ગીર સોમનાથમાં રેન્જ IGએ ચૂંટણી સમીક્ષા બેઠક યોજી:લોકો ભયમુક્ત મતદાન કરી શકે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી

ગીર સોમનાથ જિલ્લામાં આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવી ભયમુક્ત મતદાન સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક પોલીસ ભવન, ઇણાજ ખાતે યોજાઈ હતી. આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લામાં 15 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, દીવ નજીક ત્રણ વધારાની ચેકપોસ્ટ પણ કાર્યરત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના જાહેરનામાનું કડક અમલીકરણ કરવા માટે તમામ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચારસંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વાહનોની તપાસ કરવામાં આવી છે અને પોલીસે 2100 જેટલા અટકાયતી પગલાં લીધા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લામાં હથિયારના પરવાના ધરાવતા 90 ટકા જેટલા હથિયારો જમા કરાવી દેવામાં આવ્યા છે. પોલીસે જિલ્લામાં હિસ્ટ્રીશીટર, લિસ્ટેડ બુટલેગરો અને જુગારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં 56 હિસ્ટ્રીશીટર અને 51 જુગારીઓ સામે અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો તેમજ મતદારો કોઈપણ જાતના ડર, ભય, લોભ કે લાભ વિના મુક્તપણે મતદાન કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવાનો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહજી જાડેજા સહિત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 8:21 pm

'વિકાસના કામો વિપક્ષને દેખાતા નથી':મોરબીના આમરણમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો

મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એક ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. સંઘવીએ જણાવ્યું કે આઝાદીના લડવૈયાઓએ સારા રોડ-રસ્તા, વીજળી અને આરોગ્ય સેવાઓ જેવા અનેક સપના જોયા હતા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે આ સપના પૂરા કર્યા છે. તેમણે ગામડાઓ સુધી વીજળી પહોંચાડવા અને આયુષ્માન કાર્ડ દ્વારા ૧૦ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સારવાર જેવી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો. સંઘવીએ ખાસ કરીને રોડ-રસ્તાના વિકાસ પર ભાર મૂક્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ સભામાં ઉપસ્થિત વડીલોને પૂછ્યું કે કોંગ્રેસના શાસનમાં આમરણથી મોરબી જવામાં કેટલો સમય લાગતો હતો, જેના જવાબમાં દોઢથી બે કલાકનો સમય મળ્યો હતો. તેમણે કહ્યું કે આજે ભાજપ સરકારે બનાવેલા ઉત્તમ રોડને કારણે આ પ્રવાસ માત્ર અડધાથી પોણા કલાકમાં પૂર્ણ થાય છે. તેમણે કટાક્ષ કર્યો કે આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી. આ સભા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠકો તેમજ તેની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યો માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા અને ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 8:04 pm

ઘોઘંબામાં યુવક છાપરા પરથી પટકાયો:પતરા સરખા કરતા તૂટ્યું, ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે એક યુવક છાપરા પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પવનને કારણે ઘરના પતરા સરખા કરવા ચડેલા યુવકનું પતરું તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 17 એપ્રિલના રોજ સાંજના સમયે બની હતી. સાજોરા ગામના રહેવાસી મહેન્દ્ર બારીયા પોતાના ઘરના છાપરા પર ચડ્યા હતા. વાતાવરણમાં પવન હોવાને કારણે પતરા ઉડી ન જાય તે માટે તેઓ તેને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, પતરું પાતળું હોવાથી મહેન્દ્રના વજનથી અચાનક તૂટી ગયું. સંતુલન ગુમાવતા મહેન્દ્ર સીધા જમીન પર પટકાયા હતા. આ પછડાટને કારણે તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહેન્દ્રને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 8:00 pm

હિંમતનગરમાં મુખ્યમંત્રીએ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભા યોજી, ભાજપ ઉમેદવારોને જીતાડવા અપીલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાત લીધી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમણે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ તલોદ તાલુકાના રણાસણ રોડ થઈને હિંમતનગરમાં પ્રવેશ્યા હતા. તેમણે મહેતાપુરા ખાતે વોર્ડ નંબર 1માં કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. તેમની ઉપસ્થિતિમાં વિસ્તારના 20થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વિવિધ સમાજના અગ્રણીઓએ તેમને ચોપડા ભેટ આપ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ હિંમતનગરના ઉમિયા વિજય ટીપી રોડ પર વડગામના પૂર્વ ધારાસભ્ય મણી વાઘેલા અને પાલિકાના ઉમેદવાર અમૃત પુરોહિત સહિત સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મારુતિનગર વિસ્તારમાં નરનારાયણ સ્વામિનારાયણ મંદિરે સહકારી આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી હડિયોલ રોડ પર આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્ય સરકારે કરેલા વિકાસકામોની વાત રજૂ કરી હતી. તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા માટે વધુ મતદાન કરીને કમળને મત આપવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની ટૂંકી મુલાકાત દરમિયાન કાર્યકરોને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી મતે વિજયી બનાવવા માટે મતદારોનો સતત સંપર્ક કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, મહામંત્રી બિપિન ઓઝા, પ્રેમલ દેસાઈ, સિદ્ધાર્થ પટેલ, ઘનશ્યામસિંહ ભાટી, શંભુ ભટ્ટ, અનિરુદ્ધ સોરઠીયા, વોર્ડ નંબર 1ના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ, ગાયત્રીબેન વાળંદ, તેજલ રાવલ, સાવના ડોડીયાર સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:58 pm

ખેડૂતોના ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ધાંધિયા:માર્કેટ યાર્ડમાં ગુણવત્તાના નામે ખેડૂતો સાથે પક્ષપાતનો આક્ષેપ; ‘નબળો માલ લેવાય છે ને સારો રિજેક્ટ થાય છે’, ખર્ચના ખાડામાં ઉતરેલો ખેડૂત લાચાર.

​હાલમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ માર્કેટ યાર્ડમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. એક તરફ સરકાર ખેડૂતોને પૂરતા ભાવ આપવાની વાતો કરે છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર 'લાલ દાણો' કે 'કારો દાણો' હોવાનું કારણ ધરીને ખેડૂતોનો પરસેવો રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા ગુણવત્તાના માપદંડોમાં ભારે પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. ​ચાલુ વર્ષે ખેતી પર કુદરતની વક્રદૃષ્ટિ રહી છે. માવઠું અને અકાળે વરસાદ અને અતિશય ઝાકળને કારણે ઘઉંના પાકની ગુણવત્તા પર અસર પડી છે. ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનો રંગ બદલાવો એ કુદરતી પ્રક્રિયા છે. આ કોઈ ફેક્ટરીમાં બનતી પ્રોડક્ટ નથી કે જેમાં ભેળસેળ કરી શકાય.જ્યારે કુદરતી આફતને કારણે આખું રાજ્ય પ્રભાવિત હોય, ત્યારે વહીવટી તંત્રએ ગુણવત્તાના જડ નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે. ​પાડોદર ગામના રહેવાસી અશ્વિનભાઈ હાલાભાઈ ગરેજા પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે હું અંદાજે 12 થી 13 ખાંડી જેટલા ઘઉં લઈને યાર્ડમાં આવ્યો હતો. મેં ઘઉંનું વ્યવસ્થિત સાફ-સફાઈ પણ કરાવ્યું હતું. તેમ છતાં અધિકારીઓએ 'લાલ દાણો' હોવાનું બહાનું કાઢી મારો માલ સ્વીકારવાની ના પાડી દીધી છે. મેં બે-બે વાર સેમ્પલ આપ્યા પણ પરિણામ એનું એ જ છે. આશ્ચર્યની વાત એ છે કે બીજા ખેડૂતોના ઘઉં તોલાઈ રહ્યા છે, જ્યારે મારો સારો માલ રિજેક્ટ થયો છે. ખેતરેથી અહીં સુધી માલ લાવવામાં મને 10 હજારનો ખર્ચ થયો છે, હવે મારે શું કરવું ? ​નુનાડા ગામના ખેડૂત જકુભાઈ નાથાભાઈ નંદાણીયાએ ખરીદી પ્રક્રિયામાં ચાલતી વિસંગતતા પર પ્રહાર કરતા કહ્યું કે, અત્યારે માર્કેટમાં ભારે અંધેર નગરી જેવી સ્થિતિ છે. જે માલ ખરેખર નબળો છે તેની ખરીદી થઈ રહી છે અને જે સારો માલ છે તેને રિજેક્ટ કરાય છે. માવઠું અને ઝાકળને કારણે ઘઉંમાં કાળો દાણો પડવો સ્વાભાવિક છે. સરકાર અને નિગમ આ બધું જાણે જ છે. ખેતરેથી માલ લાવવાનો ખર્ચ 8 થી 15 હજાર રૂપિયા થાય છે. આટલા ખર્ચ પછી જો માલ રિજેક્ટ થાય તો ખેડૂત ક્યાં જાય? અમારી માંગ છે કે કાં તો દરેકનો માલ લેવાય અથવા નિયમોમાં પારદર્શિતા લાવવામાં આવે. ​માણેકવાડા ગામના જગદીશભાઈ જેસબાઈ સોનારા તંત્ર સામે રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું કે, મેં ઘઉં સાફ કરાવીને લાવ્યા હોવા છતાં રિજેક્ટ કરાયા છે. મારાથી નબળા ઘઉં અહીં તોલાઈ રહ્યા છે, આ સીધો અન્યાય છે. આ સરકારની નબળાઈ છે કે ખેડૂતોને રઝળાવવામાં આવે છે. ટ્રેક્ટરનું ભાડું અને મજૂરી પેટે મેં ₹15,000 ખર્ચ્યા છે. અહીં 100 જેટલા ખેડૂતો અત્યારે હાજર છે જેઓ આ જ અન્યાય સામે લડી રહ્યા છે. વહીવટી તંત્રએ નાનો-મોટો ભેદભાવ રાખ્યા વગર દરેક ખેડૂતનો માલ તોલવો જોઈએ. ​એક સામાન્ય ખેડૂત જ્યારે યાર્ડમાં આવે છે ત્યારે તેની પાછળ હજારો રૂપિયાનું ભાડું, મજૂરી અને સાફ-સફાઈનો ખર્ચ લાગેલો હોય છે. આર્થિક ભીંસમાં રહેલો ખેડૂત જ્યારે આશા સાથે ટેકાના ભાવે વેચવા આવે છે અને ત્યાંથી નિરાશા મળે, ત્યારે તેની માનસિક સ્થિતિ અત્યંત કફોડી બની જાય છે. ખેડૂતોની એક જ માંગ છે કે નિયમોના નામે હેરાન કરવાનું બંધ કરો અને કુદરતી પરિસ્થિતિને સમજીને ખરીદીમાં પારદર્શિતા લાવો.ત્યારે તંત્ર આ મામલે ક્યારે જાગશે અને ખેડૂતોને ન્યાય આપશે તે હવે જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:58 pm

Editor's View: હોંશિયાર અમેરિકન વૈજ્ઞાનિકો રાતોરાત ગૂમ:યુદ્ધ વચ્ચે અમેરિકા દુનિયાથી શું છૂપાવે છે? બધામાં 3 સરખી પેટર્ન દેખાઈ, ટ્રમ્પ પાકિસ્તાન પર કેમ ફિદા?

દુનિયા જ્યારે યુદ્ધની આગમાં ધખધખી રહી છે, ત્યારે અમેરિકામાં સન્નાટો છે. નાસાથી લઇને લોસ એલામોસની ન્યૂક્લિયર લેબ સુધી સુનકાર છે. આ સુનકાર છે ન્યૂક્લિયર સાયન્ટિસ્ટના ગુમ થવાનો અને રહસ્યમય રીતે મોત થવાનો. છેલ્લાં બે વર્ષમાં 10 જેટલા ટોપ સાયન્ટિસ્ટ અચાનક ગાયબ થઈ ગયા છે. કોઈને કાનોકાન ખબર પણ ન પડી! કોઈ પાકીટ છોડી ગયું, કોઈનો મોબાઈલ ફેક્ટરી રીસેટ કરી દેવાયો, તો કોઈ ચશ્મા ભૂલી ગયું. યુદ્ધના આ માહોલ વચ્ચે આ સમાચારે આખા અમેરિકાને ફફડાવી નાખ્યું છે. જ્યારે આ બધુ ચાલી જ રહ્યું હતું એવામાં ઈઝરાયલ અને લેબનોનની દાયકાઓ જૂની દુશ્મની દોસ્તીમાં ખપાવાઈ અને 10 દિવસનો યુદ્ધ વિરામ કરાવ્યો. આટલું તો હજુ ઠીક હતું ને ટ્રમ્પ બોલી ઉઠ્યા કે હું પાકિસ્તાન જઈશ. યુદ્ધની શતરંજમાં શું ચાલી રહ્યું છે આજે આપણે તેની વાત કરીશું. નમસ્કાર... અમેરિકાની નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી એકદમ સેન્સિટિવ લેબોરેટરીમાં કામ કરતા 10 વૈજ્ઞાનિકો ગાયબ થઈ ગયા છે અથવા કોઈનું શંકા ઉભી કરે તેવી રીતે મોત થયું છે. 15 એપ્રિલે અમેરિકન વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા ત્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ગાયબ વૈજ્ઞાનિકો સ્પેસ કે ન્યૂક્લિયર મિશન સાથે જોડાયેલા સ્વાભાવિક છે કોઈ પણ આવા ગંભીર સવાલો વિશે તાત્કાલિક જવાબ આપવાનું ટાળે અને લીવિટે પણ એમ જ કર્યું. તેમણે કહ્યું કે જો આવું હોય તો આ ખૂબ જ ગંભીર વિષય છે મારે તપાસ કરીને જવાબ આપવો પડશે. પણ સવાલ થાય કોણ ક્યાંથી અને કેવી રીતે ગાયબ થયું છે? તો તેના જવાબ સાંભળશો તો ચોંકી જશો. આ બધા ઈન્સિડેન્ટમાં એક લિંક કોમન મળે છે એક તો તે અમેરિકન સરકાર માટે કામ કરતા હતા અને બીજું કે આ વૈજ્ઞાનિકો કાં તો ન્યૂક્લિયર ફ્યૂઝન, એડવાન્સ પ્રપલ્શન અથવા ખૂબ જ સિક્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. વિલિયમ નીલ મેકકેસલેન્ડ ગુમ થયા ત્યારે તેમનો પોન અને ચશ્મા તેમના ઘરે જ મળ્યા હતા. પ્રોફેસર નુનો લૌરેરોની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલો અમેરિકાને મંદબુદ્ધિ કરવાનો આ બનાવો પર એક્સપર્ટ્સનું માનવું છે કે આ કામ કોઈ ગેંગનું નહીં પણ અમેરિકાની નેશનલ લેવલની ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન્સને ટાર્ગેટ કરવા માટેનું કામ છે. પૂર્વ FBI અધિકારી ક્રિસ સ્વેકર અને સાંસદ ટિમ બર્ચેટનું તો ત્યાં સુધી કહેવું છે કે આ ચીન રશિયા કે ઈરાનનું કામ છે. જે હશે તો પૂરી તપાસ બાદ જ ખબર પડશે કારણ કે અમેરિકા જેવા શક્તિશાળી દેશના સિક્રેટ પ્રોજેક્ટ્સ પર કામ કરતા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો રાતો-રાત ગાયબ થઈ જાય કે તેમને પતાવી દેવામાં આવે તે બહુ મોટી અને અતિ ગંભીર વાત છે. ગૂમ કે મોત થયાની કોમન કડી એક વાત અહીં જોવા મળે છે કે મોટાભાગના સાયન્ટિસ્ટ સ્પેશિયલ એક્સેસ પ્રોગ્રામ્સમાં કામ કરતા હતા. આ એવા પ્રકારના પ્રોગ્રામ્સ હોય છે જેના બજેટ પણ જાહેર નથી કરવામાં આવતા. તો વિચારો આ કેટલા સિક્રેટ મિશન હશે જેમાં આ વૈજ્ઞાનિકો કામ કરતા હશે. આ બનાવોમાં મોનિકા રેઝા અને મેલિસા કાસિયાસના કિસ્સામાં બંનેના ફોન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે ફેક્ટરી રિસેટ કરેલા મળી આવ્યા હતા. ટૂંકમાં કોઈ ડેટા જાહેરમાં ન આવે તેવો અમેરિકાના દુશ્મનનો કે અમેરિકાના અંદરના માણસનો પ્લાન હોઈ શકે. આના પર અમુક એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વૈજ્ઞાનિકો એવા ખુલાસા કરવાના હતા જે હાલના નેતાઓને ગમે નહીં તેવા હતા. ખાસ કરીને ન્યૂક્લિયર ફ્યુઝન પરનું તેમનું કામ કોઈના માટે ખતરો બની રહ્યું હતું. ગાયબ થયા પહેલા મગજ થયું હેંગ વિલિયમ મેકકેસલેન્ડે આલ્બુકર્કમાંથી ગુમ થયા પહેલા મેન્ટલ ફોગની પણ ફરિયાદ કરી હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે આ ત્યારે થાય છે જ્યારે કોઈ ડાયરેક્ટ એનર્જી વેપન કે માઈક્રોવેવ વેપન્સ આસપાસ કામ કરતું હોય. મેન્ટલ ફોગ થાય ત્યારે માણસ પોતાની વિચારવાની શક્તિ ખોઈ બેસે છે અથવા તેની વિચારવાની કેપેસિટીને કાબૂમાં કરી શકાય છે. તેઓ વર્ષ 2013માં નિવૃત થયા હતા અને સ્પેસ રિસર્ચની મોટી પોઝિશન પર કામ કરી ચૂક્યા હતા. વિલિયમ મેકકેસલેન્ડેનું નામ હિલેરી ક્લિન્ટનના કેમ્પેઈન ચેરમેન જોન પોડેસ્ટાના ઈમેઈલ્સના વિકિલીક્સ ડમ્પમાં દેખાયું હતું. જેમાં ટોમ ડોલોન્જ નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેમણે યુએફઓ એટલે કે એલિયન્સનું સ્પેશ શટલ જોયું હતું. 27 ફેબ્રુઆરીએ જનરલ મેકકેસલેન્ડ જ્યારે ગાયબ થયા, ત્યારે તેમની પત્નીએ 911 ઇમરજન્સી હેલ્પલાઈન પર કરેલો કોલ સૌથી મોટો પુરાવો છે. તેમણે ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, મારા પતિ અત્યારે પોતાને કોઈનાથી છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ પોતાની સાથે માત્ર પિસ્તોલ લઈ ગયા હતા. શું વૈજ્ઞાનિકને એલિયન્સ ઉઠાવી ગયા? રિટાર્યડ જનરલ જ્યારે ગાયબ થયા ત્યારે તેમનો ફોન, ચશ્મા અને પર્સનલ ડિવાઈઝ ઘરે જ છોડી ગયા હતા. અહીં પોલીસને એક વાત ચોંકાવનારી લાગી હતી કે જનરલનું વોલેટ, પહાડ ચઢવાવાળા હાઈકિંગ બૂટ અને રિવોલ્વર ગાયબ હતા. વિલિયમ નીલ મેકકેસલેન્ડના પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમના પતિ એલિયન્સ સાથે વાત કરી શકતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આવી કોઈ જ વાત નથી. મોતની અનસોલ્વ્ડ ગુથ્થી લિસ્ટમાં એક નામ એવું પણ છે જેનું મોત હજુ પણ વણઉકેલ્યું છે, નામ છે માઈકલ ડેવિડ હિક્સ. તેઓ નાસાના DART મિશન એટલે કે લઘુગ્રહોનો રસ્તો બદલવાની ટેકનોલોજી પર કામ કરતા હતા. આ એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ દુશ્મન દેશની મિસાઈલોને હવામાં જ ગાયબ કરવા માટે પણ થઈ શકે છે. 59 વર્ષની ઉંમરે તેમની અચાનક અને અજાણ્યા કારણોસર થયેલી મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. મહિલા સાયન્ટિસ્ટ મેલિસાની મર્ડર મિસ્ટ્રી! હવે વાત કરીએ ગયા વર્ષે 26 જૂનથી ગાયબ થયેલાં મલિસા કાસિયાસની. તેમને લોસ એલામોસ નેશનલ લેબોરેટરીમાં સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યું હતું. મલિસા ગાયબ થયા તે કામ માટે નીકળી રહ્યા હતા અને ઘરે પાછા આવ્યા હતા કારણ કે તે પોતાનો બેજ ભૂલી ગયા હતા. જો કે ત્યાર બાદ તે કામ પર પણ નહોતા ગયા અને ઘરેથી પણ કામ નહોતું કર્યું. છેલ્લે તે પોતાના પાડોશીના કેમેરામાં બપોરે સવા બે વાગ્યે ન્યૂ મેક્સિકોની ગલીઓમાં એકલા ચાલતા જોવા મળ્યા હતાં. જ્યારે તેમના દીકરી ઘરે આવ્યા ત્યારે મલિસાનું પર્સ, ચાવી, પાકિટ અને કાર ઘરે જ હતું. મલિસાના પોતાના અને તેમના કામન સરકારી ફોનમાં ફેક્ટરી રીસેટ ડેટા કરી દેવાય હતા. બધી જ માહિતી ગાયબ કરી દેવાઈ હતી. પોલીસને માટીવાળા, લોહીવાળા બૂટ મલિસાના બેડરૂમમાં જોવા મળ્યા હતા. મલિસાને સેફ રીતે સરકારને સોંપનારને 5 હજાર ડોલર આપવાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ચાવેઝની ગાયબ થવાની મિસ્ટ્રી 78 વર્ષના નિવૃત ન્યુક્લિયર એક્સપર્ટ એન્થોની ટોની ચાવેઝ પણ મે 2025થી ગાયબ છે. તેઓ લોસ એલામોસ લેબમાં સિક્રેટ પ્રોજેક્ટસ પર કામ કરતા હતા. ચાવેઝની ચાવી, ફોન અને વોલેટ પણ તેમના ટેબલ પર જ મળી આવી હતી પણ તેઓ ગાયબ હતા. ઘરે પણ કોઈ ફાઈટિંગ થઈ હોય એવા પૂરાવા નથી મળ્યા. છેલ્લીવાર તેઓ 4 મે 2025ના રોજ ન્યૂ મેક્સિકોની ડેનવર સ્ટીલ્સમાં જોવા મળ્યા હતા. તેઓ મલિસાથી થોડી ઉંચી પોસ્ટ પર કામ કરતા હતા. વૈજ્ઞાનિકની બોડી તળાવમાં, ફોન-વોલેટ ઘરે હવે વાત કરીએ જેસન થોમસની. તે નોવાર્ટિસમાં કેમિકલ બાયોલોજીના એસોસિએટ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. ડિસેમ્બર 2025થી તે ગાયબ હતા અને માર્ચ 2026માં તેમની ડેડબોડી તળાવમાંથી મળી હતી. તેમના ફોન અને વોલેટ પણ ઘરે મળી આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે થોમસે સ્યૂસાઈડ કર્યું છે પણ ફેડરલ તપાસ થાય તો ટાર્ગેટેડ કિલિંગ હોઈ શકે છે તેવું થોમસના પરિવારનું માનવું છે. વર્લ્ડ ફેમસ વૈજ્ઞાનિકનું મોત પણ પોસ્ટમોર્ટમ જ ન કરાયું? હવે વાત કરીએ ફ્રેન્ક માઈવાલ્ડની. અમેરિકન સ્પેસ કંપની નાસાના જેટ પ્રપોલ્શન લેબોરેટરીમાં ફ્રેન્કે 25 વર્ષ કામ કર્યું હતું. તે સ્પેસમાં લાઈફ શોધવાની ટેક્નોલોજી અને એડવાન્સ સેન્સર્સના વર્લ્ડ ફેમસ એક્સપર્ટ હતા. 4 જુલાઈ 2024ના તેમનું મોત થયું હતું પણ એવી વાતો છે કે તેમનું ક્યારેય પોસ્ટમોર્ટમ જ નથી કરવામાં આવ્યું. USના ન્યૂક્લિયર રિસર્ચને ઝટકો MITમાં પ્રોફેસર અને પ્લાઝમા સાયન્સ એન્ડ ફ્યુઝન સેન્ટરના ડાયરેક્ટર નુનો લૌરેરોને તેમના જ ઘરે 15 ડિસેમ્બર 2025માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ પ્લાઝ્મા ફિઝિક્સ અને ન્યુક્લિયર ફ્યુઝનમાં એક્સપર્ટ હતા. નુનોને સ્પાર્ક નામનો એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યા હતો. તેમના જવાથી અમેરિકાના ન્યુક્લિયર રિસર્ચ મિશનને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાના મંગળ મિશનને ફટકો એક્સોપ્લેનેટ સંશોધન કાર્લ ગ્રિલમેરની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી 2026ના તેમને ગોળી મારી દેવામાં આવી હતી. કાર્લ કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના મોટા રિસર્ચર અને પહેલા એક્ઝોપ્લેનેટ એક્સપ્લોર હતા. તેમણે સોલર સિસ્ટમના બહારના એક ગ્રહના વાતાવરણમાં પાણીની વરાણ શોધી હતી. તારાઓ વિશે ડાર્ક મેટરમાં રિસર્ચ કરીને તેમને સ્ટ્રીમ કિંગનું પણ ખિતાબ મળ્યું હતું. વર્ષ 2011માં કાર્લને નાસાનો મેડલ પણ આપવામાં આવ્યો હતો. કાર-પાકિટ-મોબાઈલ મળ્યા, માણસ ગાયબ 28 ઓગસ્ટ 2025થી સ્ટીવન ગાર્સિયા પણ ગાયબ છે. છેલ્લે તે મેક્સિકોના અલ્બુકર્કમાં હેન્ડગન લઈને ચાલતા જોવા મળ્યા હતા. તેમનું પણ વાહન, પાકિટ અને મોબાઈલ ઘરેથી જ મળી આવ્યા હતા. ગાર્સિયા કાન્સાસ સિટી નેશનલ સિક્યુરિટી કેમ્પસમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા હતા, જે અમેરિકાના ન્યૂક્લિયર હથિયારોના 80% થી વધુ ન્યૂક્લિયર બ્રેઈન બનાવે છે. તેમની પાસે અમેરિકાની ન્યૂક્લિયર શક્તિ વિશે સિક્રેટ માહિતીઓ હતી. વૈજ્ઞાનિકના ફોન સલામત પણ ડેટા ડિલિટ એરોસ્પેસ એન્જિનિયર મોનિકા જેસિન્ટો રેઝાની વાત કરીએ તો 22 જૂન 2025થી તેઓ પણ ગાયબ છે. તેમણે નાસાની જેટ પ્રપલ્શન લેબમાં 20 વર્ષ કામ કર્યું. આ કેસમાં સૌથી મોટો પુરાવો છે કે તેમના ડિજિટલ પુરાવા મળ્યા છે. રેઝા કેલિફોર્નિયાના જંગલોમાં હાઈકિંગ કરવા ગયા હતા અને ત્યારથી ગાયબ છે. રેઝાના ફોન પર્સનલ અને સરકારી ફોન પણ ફેક્ટરી રિસેટ કરેલા તેમના ઘરેથી જ મળ્યા હતા. મોબાઈલમાં એક એક ડેટા હટાવી દેવામાં આવ્યો હતો. રેઝા સ્પેસ એક્સપ્લોર કરવા માટે એડવાન્સ મટિરિયલ બનાવવામાં માહેર હતા. ગાયબ થયેલા મોનિકા રેઝા જે ધાતુ પર કામ કરતા હતા, તે મૌન્ડાલૉય ભવિષ્યના રોકેટ એન્જિન માટે ખૂબ જ ક્રાંતિકારી મનાય છે. આ પ્રોજેક્ટની ફંડિંગની દેખરેખ જનરલ મેકકેસલેન્ડ કરતા હતા. આ બંનેનું એકસાથે ટાર્ગેટ થવું મોટા સવાલો ઉભા કરે છે. વૈજ્ઞાનિકો ગાયબ થવાથી અમેરિકાને નુકસાન કાર્લ ગ્રિલમેયર જેવી વ્યક્તિની હત્યાથી અમેરિકાની મિસાઈલ ટ્રેકિંગ અને ડાર્ક સેટેલાઈટ ડિટેક્શન ટેક્નોલોજીમાં મોટું ગાબડું પડ્યું છે. મોનિકા રેઝાના ગુમ થવાથી મંગળ મિશન માટેની ન્યૂક્લિયર થર્મલ પ્રોપલ્શન ટેક્નોલોજી અટકી પડી છે. નુનો લૌરેરોના જવાથી ન્યુક્લિયર ફ્યુઝનથી સસ્તી એનર્જી મેળવવાનું સપનું કદાચ પાછળ ધકેલાઈ શકે છે. સીઝફાયરની શરતો ને અમેરિકાનો ખેલ હવે આપણે વાત કરીએ અમેરિકા-ઈરાન યુદ્ધની. ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસ સીઝફાયરની વાત કરી. એટલે કે આ બંને દુશ્મન દેશો એકબીજા પર હુમલા નહીં કરે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાએ આવું એટલા માટે કરાવ્યું કારણ કે 21 એપ્રિલ 2026ના અમેરિકા અને ઈરાનની લગભગ પાકિસ્તાનમાં યુદ્ધ રોકવા મીટિંગ થઈ શકે છે. અગાઉ મીટિંગ થઈ તેના પહેલા ઈઝરાયલે લેબનોનમાં હુથીઓ પર હુમલા કર્યા ત્યારે ઈરાને કહ્યું હતું કે હિંસા અને અહિંસા એકસાથે નહીં ચાલે. લેબનોન પર ઈઝરાયલ હુમલા બંધ કરશે તો જ અમે અમેરિકા સાથે વાતચીત કરવા ટેબલ પર બેસીશું. બની શકે કે ઈરાનને રીઝવવા માટે એક પ્રકારનું આ અમેરિકાનું ટેક્ટિક પણ હોઈ શકે. હિઝબુલ્લાહની કરો યા મરોના હાલ લેબનોન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ રોકવા અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ મીટિંગ કરાવી હતી. જેમાં ત્રણ વાતો સામે આવી છે. એક કે 10 દિવસ સુધી કોઈ પણ મિલિટરી કાર્યવાહી નહીં થાય અને બીજું કે લેબનોનમાં માત્ર આર્મી જ હથિયારો રાખી શકશે. હિઝબુલ્લાહ આર્મી નથી માટે તેમને હથિયાર હેઠા મૂકવા પડશે. મૂકશે નહીં તે વાત અલગ છે. ત્રીજું કે ઈઝરાયલે સાઉથ લેબનોનમાં 10 કિલોમીટરનો બફર ઝોન રાખવો પડશે. આ મીટિંગ હિઝબુલ્લાહ માટે કરો કે મરો જેવી સ્થિતિ છે. આમ તો હિઝબુલ્લાહ સીધી રીતે કરારમાં નથી છતાં ઈરાનના દબાણમાં તેમને આને સ્વીકારવું પડ્યું છે. છેલ્લા 7 અઠવાડિયામાં 2 હજારથી વધુ મેમ્બર્સ ગુમાવ્યા પછી પણ હિઝબુલ્લાહે 10 દિવસ શાંતિ રાખવી પડશે. હોર્મુઝમાં ડબલ નાકાબંધી ને મોંઘા તેલનો મારજો કે લેબનોન-ઈઝરાયલના સીઝફાયરના સમાચારથી હોર્મુઝના જલડમરુંમાં કોઈ ખાસ અસર જોવા નથી મળી. ઈરાને ફેબ્રુઆરીમાં હોર્મુઝનો દરિયાઈ રસ્તો બ્લોક કર્યો સામેની બાજુ અમેરિકાએ 13 એપ્રિલે ઈરાની બંદરોની નાકેબંધી કરી. ડબલ બ્લોકેજના કારણે રોજ જ્યાંથી ઘણા જહાજો પાસ થતાં હતાં ત્યાં આજે એકલ-દુક્કલ જહાજો જ નીકળી રહ્યા છે. આ નાકેબંધીના કારણે આજના દિવસે બ્રેન્ડ ક્રુડ ઓઈલનો ભાવ એક બેરલે 98 ડોલરને પાર છે. ઈરાનની ધમકી છે કે જો અમેરિકા પોતાના જહાજો નહીં હટાવે તો ઈરાન કાયમ માટે હોર્મુઝ બંધ કરી દેશે. પાકિસ્તાને ભારતનું ટેન્શન વધાર્યુંજ્યારે મિડલ ઈસ્ટમાં જંગની બંદૂકો શાંત પડી રહી છે ત્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પોલિટિકલ ગેમ રમાવાની તૈયારીઓ થઈ રહી છે. 21 એપ્રિલની સિઝફાયરની ડેડલાઈન પહેલા અમેરિકા પાકિસ્તાનને વચેટિયા તરીકે ઉભું રાખી રહ્યું છે. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પની ફોરેન પોલિસી એક હાથ સે દો દૂજે સે લો જેવી રહી છે પણ પાકિસ્તાનનું આટલા મોટા ગ્લોબલ પ્લેટફોર્મ પર નામ આવે તે ભારત માટે ઊંઘ ઉડાડી દે તેવી વાત છે. હું ઈસ્લામાબાદ આવીશઃ ડોનાલ્ડ ટ્રમ્પપૂરી વાત એમ છે કે ટ્રમ્પ સરકાર અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા વાતચીત ચાલી રહી છે. જેમાં ન્યૂટ્રલ રહીને પાકિસ્તાન બંને દેશોના સંદેશાઓ કે શરતો એકબીજાને પહોંચાડી રહ્યું છે. આ માટે ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શન અસીમ મુનીરના પૂરી દુનિયા સાંભળે તેમ વખાણ કર્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ઈરાન ન્યુક્લિયર કન્સેશન આપે, તો હું પોતે ઇસ્લામાબાદ જઈશ. ભારત માટે આ બિલકુલ સારી વાત નથી કે પાકિસ્તાન અને અમેરિકા વધુ નજીક આવે. કારણ કે જો આવું થાય તો અમેરિકા પાકિસ્તાનની આજીજી પર આપણા હિતોને દબાવવા કોશીશ કરી શકે તેમ છે. ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દા પર જે ભારત બિલકુલ સહન ન કરે. અને છેલ્લે… તમને જાણીને આંચકો લાગશે પણ ભારત માટે આ બૌદ્ધિક હત્યાની પેટર્ન નવી નથી. આપણા દેશમાં પણ વર્ષ 2009થી વર્ષ 2013 વચ્ચે 11થી વધુ ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટ રહસ્યમય રીતે કાં તો ગુમ થયા હતા અને કાંતો મોત થયા હતા. ભાભા એટોમિક રિસર્સ સેન્ટર અને કૈગ જેવા સેન્સેટિવ સેન્ટર્સ પર કામ કરતા એક્સપર્ટમાં કોઈની ડેડબોડી કાં તો નદીમાં મળી હતી કાં તો જંગલમાં, પણ અફસોસ આજની તારીખે પણ તેમના મોત કેવી રીતે થયા હતા અને કોણે કર્યા હતા તે કોઈ જાણી શક્યું નથી. અમેરિકામાં જે થયું તે ભારતે દાયકા પહેલા ભોગવ્યું છે. આ ગ્લોબલ ગેમ પાછળ કોણ હશે જે દુનિયાની પ્રોગ્રેસ રોકવા ઈન્ટેલિજન્ટ માઈન્ડનું મર્ડર કરતું હશે? સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:55 pm

રાજકોટમાં ABVPના ભાઈઓ-બહેનોની પોલીસે ટીંગાટોળી કરી:કોટેચા ચોકે GCAS પોર્ટલ ખાનગી યુનિ.માં લાગૂ કરવા, ફીમાં ઘટાડાની માંગણીને લઈ નારેબાજી કરતા 25 કાર્યકર્તાઓની અટકાયત

રાજકોટ ABVP દ્વારા છેલ્લા 3 વર્ષથી GCASની ખામીઓને લઈને વારંવાર સરકારને રજુઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ પગલા લેવાયેલુ નથી. જેને લઈ રાજકોટમાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા આજે 17 એપ્રિલના કોટેચા સર્કલ ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરાયુ હતુ. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જે દરમિયાન ABVP ઝિંદાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર પોલીસે ABVPના યુવાનોની સાથે યુવતીઓની પણ ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલી ₹300ની ફી તાત્કાલિક ઘટાડવામાં આવેABVPના રાજકોટ મહાનગરના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, GCAS પોર્ટલને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં બે મુખ્ય માંગણીઓ છે. જેમાં GCAS પોર્ટલમાં તમામ ખાનગી યુનિવર્સિટીઓનો તાત્કાલિક સમાવેશ કરવામાં આવે તથા વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલી ₹300ની ફી તાત્કાલિક ઘટાડવામાં આવે. જ્યારે બહેનોને ફીમાંથી મુક્તિ આપવામાં આવે. જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારો અલગ અલગ જગ્યાએ વિરોધ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન હાથ ધરાશેઆ ધરણા પ્રદર્શન દરમિયાન છાત્ર નેતાઓ દ્વારા GCAS પોર્ટલની અપૂર્ણતા, ગેરવ્યવસ્થા અને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ મહાનગર મંત્રીએ ચેતવણી આપી હતી કે, જો વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતના તમામ કેમ્પસ, યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ રસ્તા પર આવી સરકાર સમક્ષ વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:52 pm

4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદારની ધરપકડ:મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખની લાંચ માંગી, ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી 5 વર્ષમાં 12 અધિકારી ઝડપાયા

ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જમીન ફાળવણી શાખાના નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને તેમના વતી વહીવટ કરતા નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદને એસીબીએ રૂ. 4.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે ગોઠવાયેલા છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા જ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખની લાંચ માંગી હતીએક જાગૃત નાગરિકે તેમના પરિચિતના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ કામમાં કોઈ ક્ષતિ ન કાઢવા અને સાનુકૂળ અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદાર વતી નિવૃત્ત પટાવાળાએ રૂ. 9.50 લાખની માંગણી કરી હતી. રકઝક બાદ પ્રથમ હપ્તા તરીકે રૂ. 4.50 લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરતા પી.આઈ. કે.કે. દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાકોર્ટ પાર્કિંગ પાસે ફરિયાદીની ગાડીમાં બેસી જ્યારે આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને હાલ બંને આરોપીઓના નિવાસસ્થાને સર્ચની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આવક કરતા વધુ મિલકતો મળવાની શક્યતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 12 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયાગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં આ કચેરી અને તાબાની ઓફિસોના અંદાજે 12થી વધુ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અગાઉ પણ નાયબ મામલતદાર અને ક્લાર્ક કક્ષાના અધિકારીઓ એસીબીની જાળમાં સપડાઈ ચૂક્યા છે. આ સફળ ઓપરેશન એ.કે. પરમાર અને હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું, જેનાથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:48 pm

ભરૂચના ઝાડેશ્વરમાં પોલિંગ સ્ટાફને ચૂંટણી તાલીમ અપાઈ:553 કર્મચારીઓએ ચૂંટણી પ્રક્રિયાનું માર્ગદર્શન મેળવ્યું

ભરૂચના ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ. હાઈસ્કૂલ ખાતે તાલુકા-જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-2026 માટે પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનું આયોજન મામલતદાર ભરૂચના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત અંદાજે 553 કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમને ચૂંટણી પ્રક્રિયા, ઈવીએમ મશીનના ઉપયોગ, મતદાન દરમિયાનની ફરજો અને આદર્શ આચાર સંહિતાના પાલન અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. માસ્ટર ટ્રેનરો દ્વારા કર્મચારીઓને પ્રેક્ટિકલ સમજૂતી સાથે તાલીમ આપવામાં આવી હતી. આગામી ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આવી તાલીમોને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, જેથી ચૂંટણી કામગીરી પારદર્શક અને સુચારુ રીતે પાર પાડી શકાય. તમામ કર્મચારીઓએ આ તાલીમનો નિષ્ઠાપૂર્વક લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:43 pm

સરકારના 22 માર્ચના ગેઝેટ નોટિફિકેશનને રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી:AIMIMને અમાન્ય પક્ષ ઘોષિત કરવા માંગ, ઉમેદવારો મનપાની ચૂંટણીઓમાં 1 ટેકેદારથી નહીં 10 ટેકેદારથી ફોર્મ ભરી શકે

અમદાવાદથી શેખ મોહમ્મદ ઇરફાન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય, રાજ્ય ચૂંટણી આયોગ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIMને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. AIMIM પાર્ટી ગુજરાતમાં અમાન્ય રાજકીય પક્ષગુજરાત હાઇકોર્ટમાં AIMIM ગુજરાતના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરવા ઇરફાન શેખ દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ AIMIM પાર્ટી ગુજરાતમાં અમાન્ય રાજકીય પક્ષ છે. ગુજરાતમાં 6% વોટ કે 3 MLA અથવા 1 MP આમ આ ત્રણ ચૂંટણી પંચના નિયમોમાંથી એક પણ નિયમનું પાલન AIMIM દ્વારા થયું નથી. અમાન્ય પક્ષો માટે 10 ટેકેદારો હોવા અનિવાર્યઆ અરજીમાં ગુજરાત સરકારના 22 માર્ચ, 2026 ના ગેઝેટ નોટિફિકેશનને પડકારવા માટે કરવામાં આવી છે. જેમાં અરજદારે દાવો કર્યો છે કે 22 માર્ચ, 2026 ના જાહેરનામામાં AIMIM ને માન્ય રાજકીય પક્ષ તરીકે ગણવામાં આવ્યો છે. માન્ય પક્ષ હોવાને કારણે તેના મહાનગર પાલિકાની વર્તમાન ચૂંટણીઓમાં ઉમેદવારોને માત્ર એક જ ટેકેદાર દ્વારા ફોર્મ ભરવાની છૂટ મળી રહી છે, જ્યારે કાયદા મુજબ અમાન્ય પક્ષો માટે 10 ટેકેદારો હોવા અનિવાર્ય છે. જાહેરનામું રદ કરવાની માંગઅરજદાર મુજબ AIMIM ગુજરાત રાજ્યમાં માન્ય રાજકીય પક્ષ બનવાના માપદંડો પૂર્ણ કરતું નથી. આથી આ જાહેરનામું ગેરબંધારણીય અને ભેદભાવયુક્ત હોવાનું જણાવી તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારે હાઈકોર્ટને વિનંતી કરી છે કે રાજ્ય સરકારના 22 માર્ચ, 2026 જાહેરનામાને રદ કરવામાં આવે અને AIMIMને આ ચૂંટણી માટે માન્ય રાજકીય પક્ષ તરીકે ગણવામાં ન આવે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:33 pm

બોટાદમાં સબીહા હોસ્પિટલ પાસે ભંગારના ડેલામાં આગ:અગમ્ય કારણોસર લાગી, કોઈ જાનહાનિ નહીં

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી સબીહા હોસ્પિટલ નજીક એક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:29 pm

પાલનપુરમાં ABVPનો વિરોધ:G-CAS પોર્ટલ પર એડમિશન ફી રદ કરવા માંગ, કલેક્ટરને રજૂઆત કરી; સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન

બનાસકાંઠાના પાલનપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા એડમિશન ફી રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP કાર્યકરોએ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી. ABVP ની મુખ્ય માંગણીઓમાં સરકારના G-CAS પોર્ટલ પર લેવામાં આવતી ₹300 ની એડમિશન ફી રદ કરવી અને એડમિશન પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરવો તે હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન, ABVP ના કાર્યકરોએ રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત બાદ પણ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:26 pm

17 આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ સુરતની 16 ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ પાવર નિહાળ્યો:પહેલીવાર 'પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે' યોજાયો, GJEPC આયોજિત સ્પેશિયલ બાયર-સેલર મીટ

હીરા અને જ્વેલરી ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર એવા સુરતમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ગત 13-14 એપ્રિલ, 2026 દરમિયાન વિશેષ 'સ્ટડેડ ડાયમંડ જ્વેલરી બાયર-સેલર મીટ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત 12 એપ્રિલે પ્રિવ્યૂ અને ઉદ્ઘાટન સત્ર સાથે થઈ હતી. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં રશિયા, અમેરિકા, બ્રાઝિલ, બલ્ગેરિયા, કોલંબિયા અને પોલેન્ડ જેવા શક્તિશાળી દેશોમાંથી કુલ 17 આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મંચ પરથી સુરતના વેપારીઓને વૈશ્વિક બજાર સાથે સીધા જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેચરલ અને લેબગ્રોન ડાયમંડ પર વિશેષ ધ્યાનGJEPC સુરતના પ્રાદેશિક અધ્યક્ષ જયંતી સાવલીયાએ જણાવ્યું હતું કે, આ આયોજન પોતાની રીતે એક અનોખી પહેલ હતી. તે ખાસ કરીને સ્ટડેડ ડાયમંડ જ્વેલરી પર કેન્દ્રિત હતું, જેમાં નેચરલ (પ્રાકૃતિક) ડાયમંડની સાથે સાથે ઉભરતા લેબ-ગ્રોન ડાયમંડ સેગમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરતના 16 અગ્રણી પ્રદર્શકોએ પોતાની અદભૂત ડિઝાઇન્સ અને કારીગરી આ વિદેશી ડેલિગેશન સમક્ષ રજૂ કરી હતી. લેબ-ગ્રોન હીરાના વધતા વ્યાપ વચ્ચે સુરત કઈ રીતે વિશ્વને નેતૃત્વ પૂરું પાડી શકે છે, તેનું જીવંત ઉદાહરણ આ મિટિંગમાં જોવા મળ્યું હતું. પહેલીવાર 'પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે' યોજાયોઆ આયોજનની એક ખાસ વિશેષતા ‘પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે’ રહી હતી, જેનું આયોજન હોટેલ હિલ્ટન ઇન ખાતેના સોલિટેર બેન્ક્વેટ હોલમાં કરવામાં આવ્યું હતું. પ્રિવ્યૂ ડે દરમિયાન પ્રત્યેક પ્રદર્શકને સમર્પિત શોકેસ બૂથ ફાળવવામાં આવ્યા હતાં. આ વ્યવસ્થાને કારણે ખરીદદારો અને વેપારીઓ વચ્ચે આયોજનબદ્ધ સંવાદ થઈ શક્યો. આ કોન્સેપ્ટ પ્રથમ વખત અમલમાં મુકવામાં આવ્યો હતો, જેનાથી વિદેશી ડેલિગેટ્સને સુરતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને પ્રોડક્ટ રેન્જની ઝલક એક જ છત નીચે મળી રહી હતી. DIC સુરતના જનરલ મેનેજર જે.બી. દવેએ આ પ્રસંગે ઉપસ્થિત રહી એક્ઝિબિટર કેટલોગનું અનાવરણ કર્યું હતું. હીરા જડવાની પ્રક્રિયા,અત્યાધુનિક ટેકનોલોજીને વિદેશીઓને નજીકથી નિહાળીમાત્ર હોલ પૂરતી મર્યાદિત ન રહેતા, આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ ફેક્ટરી વિઝિટ રહી હતી. 13 અને 14 એપ્રિલના રોજ આયોજિત આ વિઝિટમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારોને સુરતની આધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં લઈ જવામાં આવ્યા હતાં. દરેક વાહનમાં બે આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓને રાખવામાં આવ્યા હતા, જેમણે દિવસ દરમિયાન 8 જેટલી ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી. આ પદ્ધતિથી બે દિવસમાં કુલ 16 ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અહીં વિદેશી મહેમાનોએ હીરા જડવાની પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ અને સુરતમાં વપરાતી અત્યાધુનિક ટેકનોલોજીને નજીકથી નિહાળી હતી. 'રશિયા-બ્રાઝિલના પ્રતિનિધિઓએ વેપારીઓ માટે નવા દ્વાર ખોલ્યા'GJEPCના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વીનર વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં ભારતના કુલ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં જ્વેલરીનો હિસ્સો સતત વધી રહ્યો છે. આવી બાયર-સેલર મીટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારી સંબંધો વધુ મજબૂત બને છે. ખાસ કરીને રશિયાના 6 અને બ્રાઝિલના 3 પ્રતિનિધિઓની સક્રિયતાએ સુરતના વેપારીઓ માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ પ્રકારના સીધા સંવાદથી વચેટિયાઓ દૂર થાય છે અને મેન્યુફેક્ચરર્સને તેમની મહેનતનું પૂરતું વળતર અને મોટા ઓર્ડર મળવાની શક્યતા વધી જાય છે. સફળ લોજિસ્ટિક્સ અને સુઆયોજિત વ્યવસ્થાઈવેન્ટના સફળ સંચાલન માટે GJEPC દ્વારા જબરદસ્ત લોજિસ્ટિક્સ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ફેક્ટરીઓના રૂટ ભૌગોલિક અંતરના આધારે નક્કી કરવામાં આવ્યા હતા જેથી સમયનો બચાવ થાય. દરેક ગ્રુપ સાથે એક ડેડિકેટેડ કોઓર્ડિનેટર ફાળવવામાં આવ્યો હતો, જેઓ હેડ ઓફિસ અને ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે સતત સંપર્કમાં હતા. આ વ્યવસ્થાને કારણે 17 માંથી મોટાભાગની કંપનીઓએ તમામ 16 ફેક્ટરીઓની સફળતાપૂર્વક મુલાકાત પૂર્ણ કરી હતી. સુરતની મહેમાનગતિ અને વ્યાવસાયિક અભિગમથી વિદેશી ખરીદદારો અત્યંત પ્રભાવિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:26 pm

વલસાડમાં કોલક દરિયાકિનારે કસ્ટમ વિભાગની કાર્યવાહી:દમણથી બોટમાં લવાતો 69.68 લાખનો દારૂ ઝડપ્યો, 8 શખ્સોની ધરપકડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વલસાડ કસ્ટમ્સ વિભાગે કોલક જેટી પાસે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. 'જય જલારામ' નામની શંકાસ્પદ બોટમાંથી 69.68 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 76.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગની ટીમ 16 એપ્રિલે પેટ્રોલિંગમાં હતી ત્યારે દમણ તરફથી આવતી એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. અધિકારીઓએ બોટને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે બોટ ભગાડી હતી. ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને સમુદ્રમાં જ બોટને આંતરી લીધી હતી. જોકે, ઓટ હોવાને કારણે બોટને તરત કાંઠે લાવી શકાઈ ન હતી, પરંતુ મધરાતે ભરતી આવતા તેને કોલક જેટી પર લાંગરવામાં આવી હતી. બોટ (IND GJ-15-MM-0613) ની તપાસ કરતા તેના કોલ્ડ રૂમમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 555 બોક્સમાં ભરેલી 18,672 બોટલ/ટીન (5,358.48 લિટર) દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત 69,68,880 રૂપિયા છે. આ ઉપરાંત, 7,00,000 રૂપિયાની બોટ અને 5 મોબાઈલ ફોન સહિત કુલ 76.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી 8 શખ્સોની ધરપકડ કરી છે : દારૂનો આ આ જથ્થો ભરી આપનાર કિરીટ રમેશ હળપતિ (દમણ) વોન્ટેડ છે.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, વોન્ટેડ આરોપી કિરીટે આ દારૂનો જથ્થો દમણની હર્ષ કેમિકલ કંપની પાસે નદીમાં ઊભેલી બોટમાં ભરાવ્યો હતો. આ દારૂ દરિયાઈ માર્ગે નવસારી પહોંચાડવાનો હતો. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અગાઉ પણ બે વાર સુરતના ઓલપાડ ખાતે દારૂ ખાલી કરી ચૂક્યા છે. હાલ પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:22 pm

ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારના લીરા ઉડાવનાર સામે કાયદાનો સકંજો કશાશે:પોસ્ટરબાજી અને આડેધડ બેનરો પર પ્રતિબંધ, લોકશાહી પર્વની મર્યાદાનું પાલન કરવા કલેકટરનો આદેશ

ગાંધીનગરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ યોજાવાની છે. કલોલ અને દહેગામ નગરપાલિકાઓ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણી પ્રચારના નામે થતા જાહેર મિલકતોના બગાડ અને કાયદાના ઉલ્લંઘન સામે લાલ આંખ કરી છે. ગાંધીનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલેએ જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રચારના નિયમોમાં ધરખમ સુધારા સાથે કડક પાલનના આદેશો આપ્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોનું મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોરગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ લોકશાહીના પર્વમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધસામાન્ય રીતે ચૂંટણીઓ આવતા જ શહેરની દીવાલો પોસ્ટરોથી ભરાઈ જતી હોય છે અને સરકારી કચેરીઓ કે વીજળીના થાંભલાઓ પર પક્ષીય પ્રતીકોના તોરણો ઝૂલવા લાગે છે. પરંતુ આ વખતે સરકારી મકાનો, રોડ-રસ્તા, ટેલિફોન અને ઈલેક્ટ્રિક થાંભલા, એસ.ટી. બસ સ્ટોપ કે સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત આ ઉપરાંત ખાનગી મિલકતોના ઉપયોગ બાબતે પણ નિયમો વધુ ચુસ્ત બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવાર કે સમર્થક કોઈની ખાનગી માલિકીની દીવાલ કે જમીન પર પ્રચાર સામગ્રી લગાવવા માંગતા હોય તો મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મકાન માલિકની અનિચ્છા હોવા છતાં રાજકીય પ્રભાવ હેઠળ બેનરો લગાવી દેવામાં આવે છે, જેના પર હવે કાનૂની રોક લાગશે. 8 ફૂટથી ઊંચા કટઆઉટ પ્રચાર માટે વાપરી શકાશે નહીંઆ સિવાય હોર્ડિંગ્સ અને કટઆઉટના કદમાં પણ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. 15 ફૂટ બાય 8 ફૂટથી મોટા હોર્ડિંગ્સ અને 8 ફૂટથી ઊંચા કટઆઉટ પ્રચાર માટે વાપરી શકાશે નહીં. પ્રચાર માટે જે કંઈ પણ સામગ્રી તૈયાર કરવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવો પડશે. એટલું જ નહીં જેવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી જ તમામ પ્રચાર સામગ્રી હટાવીને મિલકતોને તેની મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી પણ ઉમેદવારે ઉઠાવવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરશે તો દંડ અને જેલની સજાઆ આદેશ આગામી 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કે પક્ષ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે. વહીવટી તંત્રએ આ આદેશના અમલીકરણ માટે પોલીસ તંત્રને પણ સજ્જ કર્યું છે. જેના માટે હેડ કોન્સ્ટેબલથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:16 pm

ગીરસોમનાથમાં ચૂંટણી માટે તંત્ર સજ્જ:1005 મતદાનમથકો પર 26 એપ્રિલે મતદાન, તમામ મથકો પર ઈવીએમ સહિતની તૈયારીઓ

ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લામાં 1005 મતદાન મથકો પર 26 એપ્રિલે મતદાન યોજાશે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ બેઠકમાં કુલ મતદાન મથકોમાંથી ખાસ કરીને ચારથી વધુ પોલિંગ બૂથ ધરાવતા કેન્દ્રોને સંવેદનશીલ તરીકે ગણવાનો નિર્ણય લેવાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી વિસ્તારોને વિશેષ નજર હેઠળ રાખવામાં આવશે. ચૂંટણી દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે અધિકારીઓને આચારસંહિતા મુજબ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે જરૂરી માર્ગદર્શનો આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક તબક્કે ચૂંટણી પ્રક્રિયા અવરોધ વિના પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ માહિતી આપી હતી કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચપાસ્ટ સહિતના પગલાં લેવામાં આવશે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરાશે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1010 મતદાન મથકો હતા, જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે 1005 મતદાન મથકો પર 26 એપ્રિલે મતદાન થશે. તમામ મથકો પર ઈવીએમ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તાલુકાવાર આયોજન સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:14 pm

રાજકોટમાં લોકશાહીનાં પર્વને લઈને ઉત્સાહ:બાલાશ્રમ અને ભિક્ષુક ગૃહના આશ્રીતોએ મતદાનના શપથ લીધા, સખી મંડળોએ મહેંદી દ્વારા જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો

રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' (SVAP) અંતર્ગત ખાસ અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને મતદાન પ્રક્રિયામાં જોડવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, અંધજન કલ્યાણ મંડળ, માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર જેવી સંસ્થામાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જ્યાં આશ્રીતોએ ઉત્સાહપૂર્વક અમે અવશ્ય મતદાન કરીશું તેવા સામૂહિક શપથ લીધા હતા. લોકશાહીના આ ઉત્સવમાં લોકભાગીદારી વધારવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સખી મંડળો તેમજ સ્વ-સહાય જૂથોની બહેનોએ કલાત્મક પ્રદર્શન કર્યું હતું. બહેનોએ પોતાના હાથમાં મતદાન જાગૃતિના સંદેશા સાથેની મહેંદી મૂકીને સમાજના અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. શારીરિક કે માનસિક મર્યાદા ધરાવતા મતદારોએ પણ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો, જે આ અભિયાનની એક મોટી સફળતા માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત તમામ મતદારોને મતાધિકારના પવિત્ર મૂલ્ય અને તેની અસરો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજકોટમાં દવાના બિલ થકી મતદાનની અપીલનો નવતર અભિગમ અપનાવાયો ‘લો ભાઈ આ દવાનું બિલ..’, બિલ જોતાં જ ગ્રાહકોને તા.26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મતદાનની માહિતી આપતો સ્ટેમ્પ પણ જોવા મળી રહ્યો છે. આ સ્ટેમ્પ ગ્રાહકોને દવા લેતા લેતા તેમની મતદાન કરવાની ફરજ પણ યાદ કરાવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' પ્રવૃત્તિ અંતર્ગત રાજકોટના મેડિકલ સ્ટોરમાં દવાના બિલમાં તા.26 ના રોજ યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / ગોંડલ નગરપાલિકા સામાન્ય / પેટા ચૂંટણી – 2026 મતદાન તારીખ અને 'મારો મત મારો અધિકાર– મતદાન અચૂક કરીએ' નો સંદેશ પણ દર્દીના પરિવાજનોને આપવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપતા 'સ્વેપ' ના નોડલ અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીએ જણાવ્યું છે કે, મતદાન જાગૃતિ અર્થે અનેક સંસ્થાઓ હાલ સહયોગ આપી રહી છે. શહેર તેમજ જિલ્લા કક્ષાએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી આરોગ્ય વિભાગના સહયોગથી ખાનગી મેડિકલ સ્ટોર ઉપરાંત મહાનગરપાલિકના જનસેવા કેન્દ્ર તેમજ ટેક્સ બ્રાન્ચમાં પણ બિલ સાથે આ સ્ટેમ્પ દ્વારા મતદાન તારીખ અને મતદાન માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે.દવા ખરીદતા કે કોર્પોરેશનમાં ટેક્સ માટે આવતા ગ્રાહકો કે જેઓ મતદાન કરી શકે છે તેઓ બિલ પરના આ સ્ટેમ્પ જોઈ હકારાત્મક પ્રતિભાવ સાથે લોકશાહીના પર્વમાં સહભાગી બનવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. મોટર કારના ‘ગોલ્ડન-સિલ્વર’ નંબર માટે 23 એપ્રિલથી ઓનલાઇન રી-ઓક્શનનો પ્રારંભ થશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા જણાવવામાં આવે છે કે, મોટર કાર પ્રકારના વાહનો માટેની નવી GJ 03 PR સિરીઝ તેમજ અગાઉની સિરીઝના બાકી રહેલા 'ગોલ્ડન-સિલ્વર' નંબર મેળવવા માટે આગામી તા.23 એપ્રિલથી ઓનલાઇન હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તા.23 એપ્રિલના સાંજે 4 કલાકથી તા.28 એપ્રિલના સાંજે 4 કલાક સુધીમાં પરિવહન વિભાગની વેબસાઇટ parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઇન સર્વિસમાં જઈને ફેન્સી નંબર બુકિંગ પર ક્લિક કરી નિર્ધારિત ફી ભરી બિડિંગમાં ભાગ લઈ શકાશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે વાહન ખરીદ્યાના સાત દિવસની અંદર સી.એન.એ. (CNA) ફોર્મ ઓનલાઇન ભરેલું હોવું ફરજિયાત છે, અન્યથા સમય મર્યાદા બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.રજીસ્ટર્ડ થયેલા અરજદારો માટે બિડિંગની પ્રક્રિયા તા.28 એપ્રિલના રોજ સાંજે 04:01 કલાકથી શરૂ થશે, જે તા.30 એપ્રિલના રોજ સાંજે 4 કલાક સુધી ચાલશે. આ હરાજીનું પરિણામ તા.30 એપ્રિલના સાંજે 4.15 કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવશે.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અખાત્રીજે બાળ લગ્નો અટકાવવા સજ્જ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 હેઠળ સમગ્ર રાજ્યમાં લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. આ નિર્ધારિત ઉંમર પહેલા થતા લગ્ન કાયદાકીય રીતે ગુનો બને છે. આગામી તારીખ 19/04/2026ના રવિવારના રોજ ‘અક્ષય તૃતીયા’ (અખાત્રીજ)ના દિવસે મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો યોજાવાની સંભાવના છે. આ તકે વિવિધ સમુદાયોમાં સગીર વયના બાળકોના લગ્ન ન થાય તે માટે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટને વિશેષ સત્તાઓ સાથે તેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે જાહેર કરાયા છે. તેઓ બાળ લગ્નો રોકવા માટે જરૂરી તમામ પગલાં લઈ શકશે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈપણ સ્થળે બાળ લગ્ન ન યોજાય અને જનતાને યોગ્ય માર્ગદર્શન તેમજ કાયદાકીય મદદ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈપણ નાગરિકને બાળ લગ્ન થતા હોવાની જાણકારી મળે અથવા આ અંગે મદદની જરૂર હોય, તો તેઓ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અથવા કચેરીના ફોન નંબર 0281-2448590 અથવા 2458590 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, dsdo-raj@gujarat.gov.in પર ઇમેઇલ દ્વારા પણ જાણ કરી શકાશે. આ ઉપરાંત લોકો બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, એસ.બી.આઈ. બેંકની સામે, રાજકોટ -360001 ખાતે આવેલી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકશે. મોદી સ્કૂલમાં 18 એપ્રિલે હિંસામુક્ત વિશ્વ અંતર્ગત વર્કિંગ મોડલ્સ, પ્રોજેક્ટ્સ, પોસ્ટર્સ સાથેનું પ્રદર્શન રાજકોટની મોદી સ્કૂલ દ્વારા 18 એપ્રિલના શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું અંતર્ગત પ્રદર્શન રાખવામાં આવ્યું છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વી. જે. મોદી સ્કૂલ ખાતે તા.18 ના સવારે 9.30 થી સાંજ સુધી પ્રદર્શન યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોસ્ટર્સ, પ્રોજેક્ટ્સ અને વર્કિંગ તેમજ નોન-વર્કિંગ મોડેલ્સ દ્વારા ગહન વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે. જેમાં માનવ શરીર વિરુદ્ધ માંસાહારી પ્રાણીઓ, વૈભવી જીવન અને ક્રૂરતા, આહાર અને સ્વાસ્થ્ય, રોગચાળો અને પશુ ક્રૂરતા, ધર્મ અને અહિંસા, ડિજિટલ જાગૃતિ સહિતના પ્રોજેક્ટ સામેલ છે. આ કાર્ય મોદી સ્કૂલના સ્થાપક ડૉ. રશ્મિકાંત મોદીના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ દ્વારા 'શિક્ષા સે સંસ્કાર' કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટના તમામ જીવદયા પ્રેમીઓ, કાર્યકરો અને જનતાને આગ્રહ કરીએ છીએ કે આ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રોત્સાહનમાં વધારો કરે તેવી અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:12 pm

અમરેલીમાં લાઠી-ચાવંડ માર્ગ પર ST બસ-બાઇક અકસ્માત:બાઈક ચાલકનું મોત, બે મંત્રીઓ જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયાએ કાફલો રોકી મદદ કરી; SPને સૂચના આપી

અમરેલી જિલ્લામાં લાઠી-ચાવંડ માર્ગ પર ST બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બોટાદના રહેવાસી બાઇક ચાલક લાલજીભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ માર્ગ પરથી પસાર થઈ રહેલા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ તાત્કાલિક પોતાનો કાફલો રોક્યો હતો. તેમણે સંવેદના દાખવી મૃતદેહને કપડાથી ઢાંકાવ્યો હતો. મંત્રીઓએ બોટાદ અને અમરેલીના પોલીસ અધિક્ષકો (SPs) ને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક મદદ માટે સૂચના આપી હતી. અમરેલીથી ભાવનગર જતા માર્ગમાં બનેલી આ ઘટના બાદ બંને મંત્રીઓએ સ્થળ પર હાજર રહી રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં મૃતકનો મોબાઈલ બંધ હોવાથી ઓળખમાં મુશ્કેલી પડી હતી. જોકે, વાહન નંબર અને આધાર કાર્ડની ચકાસણી બાદ મૃતક બોટાદ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. મંત્રીઓએ મૃતકના પરિવારજનોને લાઠી સુધી પહોંચાડવા અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાનિક પોલીસતંત્રને જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. આ ઘટના અંગે મંત્રી કૌશિક વેકરિયાએ શોક વ્યક્ત કર્યો હતો અને દિવંગત આત્માની શાંતિ તથા શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:06 pm

ચંદ્રુમાણા ગૌરી વિદ્યાલયના શિક્ષક રમેશભાઈ પટેલ નિવૃત્ત:19 વર્ષની સેવાઓ બાદ શાળા પરિવારે ભાવભેર વિદાય સન્માન આપ્યું

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ગૌરી વિદ્યાલયના શિક્ષક રમેશભાઈ મોતીલાલ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. શાળા પરિવારે તેમનો વિદાય સમારંભ યોજી સન્માન પત્ર, સાકરનો પડો અને પ્રતીક ભેટ આપીને ભાવભેર વિદાય સન્માન કર્યું હતું. રમેશભાઈએ શાળાની શરૂઆતથી જ 19 વર્ષ સુધી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. નોન-ગ્રાન્ટેડ શાળા તરીકેની શરૂઆતની મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે સતત સેવા આપી હતી. વિદાય ભાષણ દરમિયાન રમેશભાઈ ભાવુક થઈ રડી પડ્યા હતા. તેમના પત્ની સુરેખાબેન તેમજ વિદ્યાર્થીનીઓ અને બાળકો પણ ભાવવિભોર થયા હતા. વિદ્યાર્થીઓએ ફૂલ પાંદડીઓ વરસાવી અને પ્રતીક ભેટ આપીને તેમને વિદાય આપી હતી. આ કાર્યક્રમ સરવા હાઈસ્કૂલના આચાર્ય વિનોદભાઈ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કુણઘેર સ્કૂલના આચાર્ય મોઘજીભાઈ ચૌધરી અને અડિયા હાઈસ્કૂલના આચાર્ય સુનિલભાઈ ઠક્કર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચંદ્રુમાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ભાનુભાઇ વ્યાસ, ઉપપ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, ટ્રસ્ટી નિરંજનભાઇ દવે, એલ ડી પટેલ, સલાહકાર ભરતભાઈ રાવલ, સી.આર.સી મૌલિકભાઈ પટેલ, નીતિનભાઈ વ્યાસ, મહાદેવભાઇ દેસાઈ, આચાર્ય સતિષભાઈ જાદવ, નિવૃત્ત સહકર્મી શિક્ષક કમલેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય નારણજીભાઈ સહિત અન્યોએ રમેશભાઈ પટેલની સેવાઓને બિરદાવી હતી. શિક્ષક કમલેશભાઈએ શાળા ગ્રાન્ટ ન હતી ત્યારે તેઓ અને રમેશભાઈ સાયકલ પર ડબલ સવારી આવતા તેની યાદો તાજી કરી હતી. વિનોદભાઈ જોષીએ કુણઘેર પ્રાથમિક શાળાના આચાર્ય દેવશંકર દાદા, વાસુદેવભાઈ વ્યાસ અને ક્રિકેટ કોમેન્ટેટર ભરતભાઈ રાવલને તેમના પ્રેરક ગણાવ્યા હતા. ભાનુભાઈ, પ્રમોદભાઈ અને ભરતભાઈએ રમેશભાઈને આ ગામ તેમનું પોતાનું છે અને ગામમાં આવતા-જતા રહેવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ કાજલબેન વ્યાસનો શુભેચ્છા સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઉપસરપંચ મોબુજી ઠાકોર, સભ્ય બળવંતસિંહ દરબાર, શિક્ષકો નિમેષભાઈ જાની, ભરતભાઈ પટેલ, મહેશભાઈ શાસ્ત્રી, પ્રાથમિક શાળાના શિક્ષકો અને આરોગ્ય કર્મચારી મહેશભાઈ પ્રજાપતિ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 7:03 pm

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બજરંગ દળનું આંદોલન:દેશભરના જિલ્લા મથકો પર આવેદનપત્ર, કડક કાર્યવાહીની માંગ

દેશભરમાં વધી રહેલી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ સંગઠનોએ ગીર સોમનાથ સહિત દેશભરના જિલ્લા મથકો પર આવેદનપત્રો પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનોનો આરોપ છે કે સમાજના વિવિધ ક્ષેત્રોમાં આવી પ્રવૃત્તિઓ વધવાને કારણે અસુરક્ષા અને અસંતુલનની સ્થિતિ સર્જાઈ રહી છે. મહારાષ્ટ્રના નાસિકમાં તાજેતરમાં સામે આવેલી ઘટનાને ટાંકીને, દેશના અનેક વિસ્તારોમાં જમીન પચાવી પાડવી, સામાજિક તણાવ ઊભો કરવો અને સગીરાઓનું શોષણ જેવી ગંભીર ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ પરિસ્થિતિના વિરોધમાં, બજરંગ દળ દ્વારા વેરાવળ ખાતે ડેપ્યુટી કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે જો આવી પ્રવૃત્તિઓ પર સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે, તો તે સમાજની શાંતિ અને સુવ્યવસ્થા માટે ગંભીર ખતરો બની શકે છે. તેથી, તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક અને દૃઢ પગલાં લેવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:58 pm

વડોદરામાં રક્તદાન શિબિરનું આયોજન:માતા હરદેવીની પુણ્યતિથિએ સજ્જણ દરબાર દ્વારા વારસિયામાં આયોજન

વડોદરાના વારસિયા વિસ્તારમાં સજ્જણ દરબાર દ્વારા માતા હરદેવીની 40મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 18 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ રક્તદાન શિબિર શનિવારે સવારે 9.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી ચાલશે. તેનું આયોજન ટી/૨૮, ૪૪૫ કોટ એરિયા, એસ.કે. કોલોની, ઝુલેલાલ મંદિર મેઈન રોડ, વારસિયા, વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આયોજકોએ લોકોને માનવ સેવાના આ કાર્યમાં જોડાઈને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે. એકવારનું રક્તદાન ત્રણ જેટલા જીવન બચાવી શકે છે. સમાજના યુવાનો અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:58 pm

સિવિલ જજને 15 દિવસમાં જેલ સમક્ષ સરેન્ડર થવા હાઇકોર્ટનો આદેશ:આવક કરતા વધુ સંપતિના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જજને 2 વર્ષ કેદની સજા ફટકારી હતી

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2011માં ચુકાદો આપતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત આવક કરતા વધુ સંપતિના કેસમાં વલસાડના પારડીમાં તત્કાલીન સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ પ્રેમજી ગોહિલને 2 વર્ષ કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની સામે જજે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે જજની અપીલ નકારી નાખતા. તેમને 15 દિવસની અંદર જેલ સમક્ષ સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. જજે હોદ્દાનો દુરુપયોગ કરીને 7 લાખનો ચેક ભેટ સ્વરૂપે સ્વીકાર્યાનો આક્ષેપ કેસને વિગતે જોતા જજ, તેમની પત્ની અને સાળા સામે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જેની ટ્રાયલમાં આરોપી જજની પત્ની અને સાળો નિર્દોષ છૂટ્યા હતા. જ્યારે જજને 2 વર્ષ કેદની સજા કરવામાં આવી હતી. જજે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને 7 લાખ રૂપિયાની ભેટ ચેક સ્વરૂપે સ્વીકાર્યાનો આક્ષેપ છે. જેનો રિપોર્ટ તેને ઉપરી ઓથોરિટીને આપ્યો ન હતો. વળી તેમની ઉપર લાંચ લેવાની આદતનો આક્ષેપ છે. જેઓ પોતાની કોર્ટમાં આવેલા કેસમાં ફેવર કરતા હતા. જજે આરોપી પાસેથી નિવાસ સ્થાનની બહારનો રોડ બનાવડાવ્યો હતોઅરજદારના કુટુંબમાં એક મિલકતની ખરીદી 5.51 લાખ રૂપિયામાં થઈ હતી. જેની બજાર કિંમત 36 લાખ રૂપિયા જેટલી હતી. વળી જજે એક આરોપી પાસેથી પોતાના નિવાસ સ્થાનની બહારનો રોડ બનાવડાવ્યો હતો. 'આરોપીને કોઈ પારિવારિક સંબંધ નહોતો'હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ભેટ આપનાર વ્યક્તિ સાથે અરજદાર આરોપીને કોઈ પારિવારિક સંબંધ નહોતો. અરજદારે ઉપરોક્ત રકમ કાયદેસરના સ્ત્રોતમાંથી મેળવી છે, તેવું તે સાબિત કરી શક્યા નથી.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:53 pm

બોટાદના હરણકુઈમાં ભંગારના ડેલામાં વિકરાળ આગ:ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા, ફાયર ઘટનાસ્થળે

બોટાદના હરણકુઈ વિસ્તારમાં આવેલા એક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી છે. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેને જોવા માટે આસપાસના લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોટાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:51 pm

BIG NEWS| ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

Strait of Hormuz Reopens : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને માલસામાનની સપ્લાય ચેઈનને મોટી રાહત મળશે.

ગુજરાત સમાચાર 17 Apr 2026 6:49 pm

કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી:વાછકપર બેડી ગામેથી પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, પિયર પક્ષના ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ

મૂળ મોરબીના અને હાલ રાજકોટના વાછકપર બેડી ગામમાં રહેતા રોનીલભાઈ ચંદ્રાલાના ઘરમાં ઘુસી તેમની પત્નીનું અપહરણ કરી લઇ જતા પત્નીના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જય, મામાનો દીકરો આકાશ ગામી અને ફઈનો દીકરો કુલદીપભાઇ ધોડાસરા વિરુદ્ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવકે 6 મહિના પહેલા મોરબીની યુવતી સાથે પ્રેમલગ્ન લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી યુવતીના પરિવારજનો સમાધાન કરવા બહાને ઘરે આવી પત્નીને અપહરણ કરી લઇ જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મોરબીના વતની અને હાલ રાજકોટમાં રહેતા 27 વર્ષીય રોનીલભાઈ અમૃતભાઈ ચંદ્રાલાએ આ મામલે પોતાના પત્નીના સંબંધીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રોનીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે છ મહિના પૂર્વે મોરબીની ઇશીતા કુકરવાડીયા સાથે પ્રેમસંબંધ હોવાથી ફેબ્રુઆરી 2026માં અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. ગત 14.04.2026ની રાત્રે 12.45 વાગ્યા આસપાસ ફરિયાદી રોનીલભાઈ તેમના પરિવાર સાથે વાછકપર બેડી ગામે ઘરે હાજર હતા, ત્યારે પત્નીના પિયર પક્ષના સભ્યો ધસી આવ્યા હતા. જેમાં પત્નીના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જય, મામાનો દીકરો આકાશ ગામી અને ફઈનો દીકરો કુલદીપ ધોડાસરા સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તમામ શખ્સોએ ફરિયાદીના પરિવારને બિભત્સ ગાળો આપી ધાકધમકી આપી હતી. દરમિયાન આકાશ નામના શખ્સે ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે કિશોરભાઈએ રોનીલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ઇશીતાબેનને પોતાની સાથે ઘરે આવવા દબાણ કર્યું હતું. ​આ હુમલા બાદ આરોપીઓ ઇશીતાબેનને બળજબરીથી પકડીને ઘરની બહાર લઈ ગયા હતા અને ત્યાં ઉભેલી એક ફોર-વ્હીલર કારમાં બેસાડી તેમનું અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ઘરમેળે સમાધાનની વાતો ચાલતી હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ બે દિવસ વિતવા છતાં પત્નીનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે કાયદાનો આશરો લીધો છે. હાલ કુવાડવા પોલીસે આ મામલે BNSની કલમ 140(3), 115(2), 352 અને 127(3) હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:48 pm

'તું હરાવવા બધા પ્રયત્ન કરી લે, તારો પર્સનલ હિસાબ કરીશ':વોર્ડ-10ના ભાજપ ઉમેદવાર નીતિન દોંગાનો આડિયો વાઈરલ, કહ્યું-'મીડિયાના બાપથી નથી ડરતો, તું કઈ વાડીનો છે?'

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો જંગ જામ્યો છે. શહેર પોસ્ટર વોર, સોશિયલ મીડિયા વોર હવે ખુલીને જોવા મળી રહી છે. બે દિવસ પહેલા શહેરના વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. જે બાદ નીતિન દોંગા અને ક્રાંતિકારી સેનાના યુવાન કે જેને આ પોસ્ટર લગાવ્યા હોવાનું કહેવાય છે તેઓ વચ્ચેનો વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે. જેમાં નીતિન દોંગા યુવકને એવું કહેતા સાંભળવા મળે છે કે, તું મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે. જો તું મને નહીં હરાવી શક્યો તો તું બહુ દુઃખી થઈશ. ભાજપના ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા હતાચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો સામે વિરોધ જોવા મળ્યો હતો. વોર્ડ 10માં અગાઉ મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરૂદ્ધ બેનર લાગ્યા હતા તે બાદ એ જ વોર્ડના રીપીટ ઉમેદવાર નીતિન દોંગા વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટર ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નીતિન દોંગા વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા બાદ તેઓએ કથિત રીતે પોસ્ટર લગાવનાર શ્રેયસ પટેલ નામના યુવકને ફોન કર્યો હતો અને તેનો ઓડિયો વાઇરલ થયો છે. લોકો અમને પૂછે છે, કામો નથી થતાનીતિન દોંગા અને યુવક વચ્ચે વાતચીતના ઓડિયોમાં નીતિન દોંગા પૂછી રહ્યા છે કે, તે મારી વિરૂદ્ધમાં પોસ્ટર કેમ લગાવ્યા? જેના જવાબમાં યુવક કહી રહ્યો છે કે, લોકો અમને પૂછે છે. શું કામ થયા તેમ પૂછે છે. અમારે શું જવાન આપવાનો. મેં પોસ્ટર લગાવ્યા છે તો તમે હિસાબ આપી દો ને. જેના જવાબમાં નીતિન દોંગા કહે છે કે, હું હિસાબ આપીશ અને તારો હું પર્સનલ હિસાબ કરીશ. હું મીડિયાના બાપથી નથી ડરતો, તું કઈ વાડીનો છે?યુવાન નીતિન દોંગાને કહે છે કે, પોસ્ટર લગાવ્યા તો તમને જ ફાયદો થશે. લોકો તમને ઓળખશે તો ખરા અને તેના કારણે તમે જ જીતશો. વધુમાં યુવક એમ પણ કહે છે કે, અવનીબેન વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા ત્યારે તમે મીડિયામાં એમ કહ્યું કે, આ કોંગ્રેસ પ્રેરિત છે. હું કઈ કોંગ્રેસનો માણસ છું? તમે ખોટું કેમ કહ્યું. હું આ અભિયાન ચાલુ જ રાખીશ. જેના જવાબમાં નીતિન દોંગા કહે છે કે, હું મીડિયાના બાપથી પણ નથી ડરતો તો તું કઈ વાડીનો છે. હું તને ચેલેન્જ કરું છું કે તું મને હરાવી દે. ક્યાં મળવું છે બોલ આજે ક્યાં તું નહીં ક્યાં હું નહીંફોન ઉપર નીતિન દોંગા શરૂઆતમાં ખૂબ પ્રેમથી વાત કરીને દીકરા કહી યુવાનને સંબોધે છે, પરંતુ બાદમાં યુવાન જીદે ચઢતા નીતિન દોંગા અકળાઈ જાય છે અને કહે છે કે ક્યાં મળવું છે બોલ, આજે ક્યાં તું નહીં... ક્યાં હું નહીં. તારો બે કલાકમાં હિસાબ કરી નાખીશ, મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે, હું જીતી ગયો તો 28 તારીખ પછી તું બહુ દુઃખી થઈશ. સ્ત્રીનું અપમાન સહન ન કરી શકાયસમગ્ર વાતચીત અંગે નીતિન દોંગાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આજે ક્યાં અવનીબેન વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. એ યુવાનને બહુ પ્રેમથી અમે અમારી સાથે એક ટેબલ પર બેસાડીને જમાડ્યો પણ છે. તેમ છતાં નારી શક્તિનું અપમાન કરે તે કેવી રીતે ચલાવી લેવાય? મેં એ યુવાનને એમ કહ્યું કે, આ સ્ત્રી તારા માતાની ઉંમરના છે તો એમને શું કામ બદનામ કરવાના. તેઓએ એમ પણ કહ્યું કે બે દિવસ અગાઉ ચેરમેનના નામની ચર્ચા થઈ ત્યારે તે બાદ પણ આ રાજકારણ રમાઈ રહ્યું હોય શકે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:45 pm

સેવક ખીમજીભાઈ બારડ સેવા નિવૃત:એમ. એલ. દોશી અધ્યાપન મંદિરમાં વિદાય સમારંભ યોજાયો

સુરેન્દ્રનગર: એમ. એલ. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિરમાં સેવક ખીમજીભાઈ બારડનો વિદાય સમારંભ ૧૭ એપ્રિલ, ૨૦૨૬, શુક્રવારના રોજ યોજાયો હતો. તેઓ ૩૮ વર્ષની સેવા બાદ નિવૃત થયા છે. સંસ્થામાં ૩૮ વર્ષ સુધી સેવા આપનાર ખીમજીભાઈને સ્ટાફ પરિવાર અને તાલીમાર્થીઓ દ્વારા શ્રીફળ, સાકરનો પડો અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યાપક વિરેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સહકાર્યકરો દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદાય સમારંભમાં ખીમજીભાઈના બંને દીકરીઓ અને જમાઈ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ પારસભાઈ શાહ અને મંત્રી દિપકભાઈ શાહ દ્વારા ખીમજીભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આચાર્ય ડો. અલકાબેન દેવમુરારી, ડો. સુમિતાબેન મેઢા અને ઇન્દુબેન વસાણી તેમજ તાલીમાર્થી બહેનો દ્વારા પણ ખીમજીભાઈને વિદાય નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:42 pm

પાટણ કોંગ્રેસ ઉમેદવારોએ સ્વખર્ચે રોડના ખાડા પૂર્યા:વોર્ડ 9 માં જનતાની હાલાકી દૂર કરવા રસ્તાનું સમારકામ

પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી પહેલ કરી છે. તેમણે શહેરના મોતીશ દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના ખરાબ રસ્તા પરના ખાડાઓ પોતાના સ્વખર્ચે પૂરીને લોકસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારની પરંપરાગત રીત છોડીને જનહિતના કાર્યો પર ભાર મૂક્યો છે. મતવિસ્તારમાં ભ્રમણ દરમિયાન રસ્તાની બિસ્માર હાલત જોઈને ઉમેદવારોએ આ નિર્ણય લીધો હતો. વોર્ડ નંબર 9 ના ચાર ઉમેદવારો - અલ્કેશભાઈ મનોરભાઈ પટેલ, સુભદ્રાબેન તરૂણભાઈ મોદી, ગીતાબેન દશરથજી ઠાકોર અને દિનેશભાઈ સેંધાભાઈ પટણી - દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મોતીશ દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના મુખ્ય માર્ગ પરના ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ઉમેદવારો અને કાર્યકરોએ પોતાની વ્યક્તિગત મૂડી ખર્ચીને ખાડાઓ પૂરવાનું કામ કર્યું. આ ચાર ઉમેદવારોમાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટણી અને પૂર્વ કોર્પોરેટર ગીતાબેન ઠાકોર જેવા અનુભવી ચહેરાઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચૂંટણીમાં નેતાઓ વચનો આપતા હોય છે, ત્યારે ઉમેદવારોએ સીધું કામ કરીને પ્રચાર કરતા આ બાબત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. આ પ્રચાર દ્વારા ઉમેદવારોએ સત્તા પર આવ્યા પહેલા પણ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ હોવાનો સંદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:41 pm

લુણાવાડા હાઇવે પર ક્રિસ્ટલ સ્કૂલ સામે છકડો રિક્ષા પલટી:રિક્ષામાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, કોઈ જાનહાનિ નહીં

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા-ગોધરા હાઇવે પર ક્રિસ્ટલ સ્કૂલ સામે એક પેસેન્જર ભરેલો છકડો પલટી ગયો હતો. આ અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી અનુસાર, છકડા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Apr 2026 6:31 pm