SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

અંગ દઝાડતી ગરમીમાં અમદાવાદીઓ બરાબરના અકળાયા, VIDEO:ઘરની બહાર પ્રોટેકશન સાથે જ નીકળો; જાણો ધગધગતા તાપથી બચવાના જુગાડ

હજુ તો ઉનાળાની પ્રોપર શરૂઆત પણ નથી થઈ ત્યાં ગરમીએ એનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અંગ દઝાડતી ગરમીથી અમદાવાદીઓ બરાબરના અકળાયા છે. લોકો ઘરની બહાર પ્રોટેક્શન સાથે જ નીકળી રહ્યા છે. તો કોઈ છાશ ને લીંબુ પાણીથી ચલાવી રહ્યા છે. તો આવો જાણીએ ધગધગતા તાપથી બચવા અમદાવાદીઓ કેવા-કેવા જુગાડ કરી રહ્યા છે…

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:00 am

ગેસની અછતથી એલ.ડી. એન્જિ.માં મેસ સંચાલકો મુશ્કેલીમાં:રૂ.3000 આપવા છતાં સિલિન્ડર નથી મળતા, વિદ્યાર્થીઓના પેટ ઠારવા ચૂલા સળગાવ્યાં; મેસ બંધ થશે તો મોઘું જમવું પડશેઃ વિદ્યાર્થી

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે. મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા શરૂ કર્યાઅમદાવાદમાં આવેલી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ દૂર-દૂરથી અભ્યાસ કરવા માટે આવે છે, ત્યારે સસ્તુ અને સારું જમવાની વ્યવસ્થા તેમની મેસમાં જ કરવામાં આવે છે. આ મેસમાં 500થી 700 જેટલા વિદ્યાર્થીઓ જમતા હોવાથી બે જેટલા ગેસના સિલિન્ડરની જરૂર પડતી હોય છે. જો કે, તેની સામે હવે બે કે ત્રણ દિવસમાં માત્ર એક જ ગેસ સિલિન્ડરની બોટલ મળી રહી છે. તેમાં પણ 3000થી 4000 રૂપિયા મેસના સંચાલકોને આપવા પડી રહ્યા છે, જેથી મેસના સંચાલકોએ તેનો ઉપાય સીધો કાઢ્યો છે. વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે. હવે રસોઈ બનાવવા બે કલાક વહેલું ઉઠવું પડે છેઃ નરેશ જોશીઆ મામલે મેસના સંચાલક નરેશ જોશીએ જણાવ્યું હતું કે, અમારે દરરોજ બે ગેસ સિલિન્ડરની જરૂર પડતી હોય છે, પરંતુ અત્યારે યુદ્ધની સ્થિતિને કારણે તે મળતા નથી, જેથી અમે ઓપ્શન ગોત્યો છે કે ચૂલા પર રસોઈ બનાવીશું. પહેલા 7 વાગ્યે જાગીને રસોઈ બનાવવાની શરૂઆત કરતા હતા, તેના બદલે હવે સવારે 5 વાગ્યે જાગીને રસોઈ બનાવવાની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થીઓને સમયસર જમવાનું મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. ‘જો આવી જ સ્થિતિ રહેશે તો મેસ બંધ કરવી પડશે’વધુમાં નરેશ જોશીએ જણાવ્યું હતું કે, દરરોજ 300થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા સવાર અને સાંજે જમવા માટે આવે છે. અત્યાર સુધી તેમણે જમવાની કોઈ તકલીફ પડે તેવું નથી થવા દીધું, પરંતુ જો આવી જ સ્થિતિ રહેશે તો તકલીફ થઈ શકે છે. બહાર જમવાનો ખર્ચ વધશે અને અભ્યાસ પર પણ અસર થશેઃ વત્સલવધુમાં વિદ્યાર્થી વત્સલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. આ કોલેજમાં 6 હોસ્ટેલમાં બ્લોક છે, હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી મોટાભાગના લોકો મેસમાં જ જમવા માટે આવે છે. હોસ્ટેલમાં રહીને મેસમાં જમીએ તો નક્કી હોય છે કે આટલા દિવસના પૈસા આટલા હોય છે, પરંતુ બહાર જઈએ તો પૈસા વધી જાય અને ઘરેથી પૈસા પણ વધારે મંગાવવા પડે, જેથી બીજી તકલીફ પણ ઉભી થઈ જાય છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:00 am

કુલપતિની ચેમ્બરમાં ડખો, સાહેબે ખૂણો પકડી લીધો:વિધાનસભા બહાર કોંગ્રેસનો ‘બાટલાફાડ’ વિરોધ; જીવાત નિકળી છાસમાં ને સેમ્પલ લીધા શાકના!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:00 am

પોલીસે કરી લાલ આંખ:માંડવીના કુખ્યાત બુટલેગર પર પાસાનું શસ્ત્ર ઉગામાયું

પશ્ચિમ ક્ચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરી અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લાંબા સમયથી દારૂના વેપલામાં સક્રિય અને અનેક પોલીસ મથકોના ચોપડે ચડી ચૂકેલા મૂળ માંડવી તાલુકાના કોટાયા અને હાલે માંડવીના ધવલનગર - 2 વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ઇસમ હરી હરજી ગઢવી વિરૂદ્ધ એલસીબીએ પાસા હેઠળ અટકાયતી પગલાં ભરી જેલ હવાલે કર્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલની દેખરેખ હેઠળ હરી ગઢવી વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા આરોપીને અટકાયતમાં લઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરાયો હતો. પકડાયેલ આરોપી હરી ગઢવીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની વિરૂદ્ધ મુંદરા, નખત્રાણા, કોઠારા, ગઢશીશા, માંડવી, માનકુવા અને ભુજ શહેર એ-ડિવિઝન સહિતના વિવિધ પોલીસ મથકોમાં વર્ષ 2014 થી લઈને 2025 સુધીમાં 16 ગુના નોંધાયેલા છે.સતત ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા ઇસમને સમાજ માટે જોખમી ગણીને પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:27 am

40 લાખની જમીન ખુલ્લી કરાઈ:મોટી ખોંભડીની 6 એકર ગૌચર જમીનમાં થયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કરેલા દબાણ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં નખત્રાણા તાલુકાના મોટી ખોભડી ગામની 6 એકર ગૌચર જમીન પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ 40 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની ટીમ સાથે નખત્રાણા પોલીસ મથકના સ્ટાફ દ્વારા મોટી ખોભડી ગામના હરીલાલ ધનજીભાઈ ધોળુ દ્વારા કરેલા દબાણ પર કાર્યવાહી કરવામાં આવી હતી. શુક્રવારે પોલીસની ટીમે સ્થળ પર હાજર રહી ગામની સીમમાં આવેલ સર્વે નંબર 261 પૈકી 62 વાળી 6 એકર જમીન પર થયેલા વાવેતર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો.ઉભા પાકને ખેડી રૂપિયા 40 લાખની કિંમતની જમીન ગામના પશુધન માટે ખુલ્લી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણ પર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અલગ અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:26 am

મામલતદારે જમીન પર શ્રી સરકાર કરતા ફફડાટ:અંજારમાં ‘બોગસ ખેડૂત’ બની કિંમતી જમીન પચાવી પાડનારને રૂપિયા 10.56 કરોડનો દંડ

કચ્છમાં કિંમતી ખેતીની જમીનો હડપ કરવા માટે ભૂમાફિયાઓ અને વગદાર લોકો કેવી કેવી તરકીબો અજમાવે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અંજારમાંથી સામે આવ્યો છે. બિન-ખેડૂત હોવા છતાં, કાયદાની આંખમાં ધૂળ નાખીને કરોડો રૂપિયાની ખેતીની જમીન ખરીદનારા બે શખ્સો સામે અંજાર મામલતદાર કોર્ટે લાલ આંખ કરી છે. જાગૃત નાગરિકની અરજી બાદ તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેના પરિણામે તંત્રએ રૂ. 10.56 કરોડનો દંડ ફટકારીને જમીન ‘શ્રી સરકાર’ (સરકાર હસ્તક) કરવાનો આકરો હુકમ કર્યો છે. અશોક મયારામ ઠક્કર અને પંકજ મયારામ ઠક્કર (રહે. ગાંધીધામ) દ્વારા અંજાર સીમના સર્વે નંબર-984 પૈકી 218/પૈકી 1 ની 3.03.52 આરે ખેતીની જમીન ખરીદવામાં આવી હતી. કાયદા મુજબ ખેતીની જમીન માત્ર ખેડૂત જ ખરીદી શકે. આ નિયમમાંથી છટકવા માટે આ બંને ભાઈઓએ પોતે ભચાઉના કરમરીયા ગામના ખાતેદાર હોવાના આધાર રજૂ કર્યા હતા. પરંતુ, અરજદાર જીલુભાઈ રામભાઈ સોઢીયાની રજૂઆત બાદ જ્યારે મહેસૂલ વિભાગે મૂળ સુધી તપાસ કરી ત્યારે મોટું ભોપાળું છતું થયું. તપાસમાં ખૂલ્યું કે, આ ભાઈઓના પિતા મયારામ ઠક્કરને ડીસા તાલુકાના લટીયા ગામે ખેતીની જમીન કોઈની પાસેથી ‘વિલ’ દ્વારા મળી હતી. રેવન્યુ કાયદાની સ્પષ્ટ જોગવાઈ છે કે, માત્ર વસિયતનામાથી મળેલી જમીનથી કોઈ વ્યક્તિ કાયદેસરનો ‘ખેડૂત ખાતેદાર’ બની શકે નહીં, કારણ કે તે જમીન વડીલોપાર્જિત ગણાય નહીં. આમ, પાયામાંથી જ ખેડૂત ન હોવા છતાં, ખોટી રીતે ખેડૂત તરીકેના હકો ઊભા કરી, સક્ષમ અધિકારીઓને ગેરમાર્ગે દોરીને આ જમીનનો સોદો કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગેરરીતિ અને રેવન્યુ રેકર્ડ સાથે થયેલા ચેડાં સાબિત થતાં, અંજારના મામલતદાર બી. વી. ચાવડાએ ગણોતધરાની કલમ અને મુંબઈ ગણોત વહીવટ કાયદાનો કડક અમલ કર્યો છે. વિવાદિત જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમત (રૂ. 580 પ્રતિ ચો.મી.) મુજબ જમીનનું મૂલ્ય રૂ. 3,52,08,320/- આંકવામાં આવ્યું છે. કાયદાના ભંગ બદલ આ કિંમતના ત્રણ ગણા એટલે કે કુલ રૂ. 10,56,24,960નો જંગી દંડ બંને ભાઈઓને ફટકારવામાં આવ્યો છે. અંજાર સીમની આ કરોડોની જમીન પરથી અશોક ઠક્કર અને પંકજ ઠક્કરનો કબજો તાત્કાલિક અસરથી દૂર કરી, જમીનને બોજા રહિત ‘શ્રી સરકાર’ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ જાણ કરાઇમામલતદારે કચ્છના અન્ય તાલુકાઓમાં પણ પત્ર લખીને આ શખ્સો દ્વારા ખરીદાયેલી અન્ય ખેતીની જમીનોની તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:24 am

‘દ્રશ્યમ’ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના બની:ખાંભલામાં હિચકારું ઓનર કિલિંગ, પિતાએ જ દીકરી-પ્રેમીને પતાવ્યા

પોતાના મનપસંદ વ્યક્તિને જીવન સાથી પસંદ કરવાની પુખ્તવયની વ્યક્તિને સ્વતંત્રતા છે, તેમ છતાં અનેક સ્થળોએ પરિવારની મરજી વિરુદ્ધ જીવનસાથી પસંદ કરવાના કિસ્સાઓમાં ઓનર કિલિંગના બનાવો બનતા હોય છે. તેવો જ એક બનાવ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં સામે આવ્યો છે. જેમાં નાના અંગીયા અને ખાંભલા ગામના યુવક-યુવતી ભાગી ગયા બાદ યુવતીના પિતાએ ફોસલાવી બન્નેને પરત બોલાવ્યા હતા. જે બાદ યુવતીના પિતાએ પોતાના ભાણેજ સાથે મળી બન્નેની ગળુ દબાવી હત્યા નીપજાવી હતી અને સીમમાં આવેલા કુવામાં મૃતદેહો નાખી દીધા હતા. આ મામલે નખત્રાણા પોલીસ મથકે યુવક અને યુવતીની ગુમનોંધ લખાયા બાદ પોલીસે યુવતિના પિતાની ઉલટ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને ડબલ મર્ડરની ઘટના પરથી પરદો ઉચકાતા શુક્રવારે 39 દિવસ બાદ બન્નેના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જે મામલે આરોપી પિતા અને તેના ભાણેજને રાઉન્ડઅપ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામની 19 વર્ષીય યુવતી નાથીબેન ઉર્ફે સોનુ વંકા રબારી અને નાના અંગીયા ગામના 21 વર્ષીય નવીન જીવાભાઈ રબારીની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બન્ને યુવક-યુવતી વચ્ચે પ્રેમસબંધ હોતા ગત 3 ફ્રેબ્રુઆરીના તેઓ ભાગી ગયા હતા. રાત્રે આઠ વાગ્યા સુધી દીકરી ઘરે ન આવતા યુવતીના પિતાએ તેની તપાસ કરી હતી ત્યારે યુવક અને યુવતી કોટડા(જ)થી મળી આવ્યા હતા. જે બાદ યુવતીના આરોપી પિતા વંકા પના રબારી અને તેના ભાણેજ પબા ગાભા રબારીએ બન્નેને ફોસલાવી પરત બોલાવ્યા હતા અને ખાંભલા-કોટડા ગામની વચ્ચે રોડ નજીક બન્નેનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. જે બાદ વારાફરતી બન્નેના મૃતદેહને બાઈક પર ઉઠાવી સીમ વિસ્તારમાં આવેલા 100 ફૂટ ઊંડા કુવામાં નાખી દઈ પુરાવાનું નાશ કર્યો હતો. પોલીસે ગુમનોંધને આધારે આ મામલે તપાસ હાથ ધરી બન્નેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. એ દરમિયાન યુવતીના પિતા પર પોલીસને શંકા ગઈ હતી અને ઉલટ તપાસ કરતા ડબલ મર્ડરની ઘટના પરથી પડદો ઉચકાયો હતો. જે બાદ નખત્રાણાના ઇન્ચાર્જ ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ, નખત્રાણા એસડીએમની હાજરીમાં પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમે શુક્રવારે ખાંભલા ગામની સીમમાં આવેલ કુવામાં શોધખોળ હાથ ધરતા હત્યાના 39 દિવસ બાદ મૃતક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. જેને કુવામાંથી બહાર કાઢી પોલીસે સ્થળ પર પંચનામું કરી બન્ને આરોપીઓને રાઉન્ડઅપ કરી લઇ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલાના મૃતક યુવાનના ભાઇનું ગત તા. 28-10-2025 માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ટૂંકા ગાળામાં બે પુત્રો ગુમાવતા પિતા પર આભ ફાટ્યું છે. ભાસ્કર ઈનસાઈડ: લાશને કુવા-બોરવેલમાં નાખવાની 3 માસમાં ચોથી ઘટના કચ્છમાં છેલ્લા થોડાક સમયથી હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં આરોપી દ્વારા હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કુવા કે બોરવેલમાં નાખી દેવાતો હોય છે. અગાઉ 9-12ના નખત્રાણાના મૃરૂમાં પરિણીતા સાથે આડા સબંધને કારણે 20 વર્ષીય યુવકનું ધારિયાથી માથું અને પગ કાપી બોરવેલમાં નાખી દેવાયા હતા. જે બાદ 14-12ના નાના વરનોરામાં પતિના અન્ય યુવતી સાથે આડા સબંધ હોવાથી પત્નીનું ગળુ કાપી મૃતદેહને કુવામાં નાખી દીધો હતો. જ્યારે ગત 21 ફ્રેબ્રુઆરીના અંજાર તાલુકાના ચંદીયામાં ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી દીધા બાદ લાશને 55 ફૂટ ઊંડા કુવામાં નાખી દેવામાં આવી હતી. તેવામાં હવે નખત્રાણાના ખાંભલામાં વધુ એક ઘટના બની છે. પોલીસને ગુમરાહ કરવા ગુમનોંધ લખાવી5 ફ્રેબ્રુઆરીના યુવકના પરિવારજનોએ નખત્રાણા પોલીસ મથકે ગુમનોધ લખાવી હતી. જે બાદ યુવતીના પિતાએ પણ પોતે સમગ્ર ઘટનાથી અજાણ બની 7 ફ્રેબ્રુઆરીના પોતાની દીકરી ગુમ થઇ ગઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોતાની દીકરી અને તેના પ્રેમી યુવકને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોલીસને શંકા ન જાય તેવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું પરંતુ અંતે મામલો સામે આવ્યો અને ચકચારી ઘટનાનો પોલીસે પર્દાફાસ કરી દીધો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:18 am

રાંધણ ગેસની કટોકટી વેળાએ સાયબર ઠગો સક્રીય:ઝડપી LPG ડિલિવરીના નામે ઓનલાઈન ઠગાઈનો નવો કીમિયો

કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ રાંધણ ગેસના જથ્થાને લઈને ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર અને તંત્ર એવા નિવેદનો આપી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકત સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાગતી લાંબી લાઈનો અને બુકિંગ છતાં ડિલિવરીમાં થતો વિલંબ સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યો છે. શુક્રવારના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર કચ્છમાં કુલ 28,820 ગ્રાહકોએ ગેસ રિફિલ માટે બુકિંગ કરાવ્યું હતું. તેની સામે સરકારી ત્રણ મુખ્ય ગેસ કંપનીઓ પાસે માત્ર 9,435 બોટલનો જથ્થો જ હાજર હતો. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ 9,370 બોટલ રસ્તામાં છે, પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ બુકિંગ કરાવ્યાના ચાર-ચાર દિવસ વીતી જવા છતાં ગેસના બોટલ મળતા નથી. ગેસની અછતને છુપાવવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોને એક બોટલ લીધાના 25 દિવસ બાદ જ બીજું બુકિંગ કરાવવા દેવામાં આવશે. જો આમાં 4-5 દિવસનો ડિલિવરી સમય ઉમેરવામાં આવે, તો એક સામાન્ય પરિવારને હવે માંડ મહિનામાં એક બોટલ મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગેસની અછતને પહોંચી વળવા સરકાર આડકતરી રીતે જથ્થા પર કાપ મૂકી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં સરકારે પહેલાથી જ કાપ મૂક્યો છે, જેના કારણે હોટલો, રેસ્ટોરન્ટો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા રસોડાઓ પર સંકટના વાદળો છવાયા છે. જો યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો લોકોએ ફરીથી ગેસના બોટલના બદલે ચૂલા કે ઇન્ડકશન સગડી પર રસોઈ બનાવવાની ફરજ પડશે તેમાં કોઈ શંકા નથી. આ ફ્રોડથી કેવી રીતે બચવું?સિલિન્ડર બુકિંગ માટે ગેસ કંપનીઓની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરો. અજાણી લિંક પર ક્લિક ન કરો, અજાણી વેબસાઇટ પર પેમેન્ટ ન કરવું. LPG બુકિંગ માટે UPI પિન, OTP અને બેંક ડીટેલ શેર ન કરવી. જો છેતરપિંડીનો ભોગ બનો તો હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરો. વહેલી ફરિયાદ કરવાથી, છેતરપિંડીની રકમ ઝડપથી વસૂલ કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:13 am

બાર કાઉન્સિલની ચૂંટણી:બાર કાઉન્સિલની ચૂંટણીમાં કચ્છના 102 મત રદ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે રાજ્યભરમાં થયેલા મતદાન બાદ હવે મતપેટીઓ ખોલી માન્ય-અમાન્ય મતો અલગ પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે. કચ્છ જિલ્લાના વિવિધ અદાલત કેન્દ્રોમાં થયેલા મતદાન બાદ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં પરિણામને લઈને ઉત્સુકતા વધી છે. કચ્છ જિલ્લામાં કુલ 9 કેન્દ્રો પર 2637 મતદારો નોંધવામાં આવ્યા હતા. જેમના 1920 મતદાન કર્યું હતું. તેમાંથી 1818 મત માન્ય, 102 મત અમાન્ય જાહેર થયા હતા. નોંધાયેલા મતદારોની સામે 72.81 ટકા મતદાન થયું છે. તેમજ થયેલા મતદાન સામે માન્યમત 94.68 ટકા અને 5.31 ટકા અમાન્ય મત નોંધાયા હતા. આ આંકડાઓ મુજબ કચ્છમા નોંધપાત્ર મતદાન થયું છે. ભુજમાં 625 માન્ય અને 28 અમાન્ય મત, ગાંધીધામમાં 393 માન્ય અને 37 અમાન્ય મત, ભચાઉમાં 114 માન્ય અને 4 અમાન્ય, માંડવીમાં 165 માન્ય અને 7 અમાન્ય મત, મુન્દ્રા 124 અને 8 અમાન્ય, અંજાર 227 માન્ય અને 17 અમાન્ય તેમજ રાપરમાં 65 માન્ય અને 1 અમાન્ય મત નોંધાયા હતા. જ્યારે નખત્રાણા અને અબડાસા કેન્દ્રોમાં અનુક્રમે 54 અને 41 માન્ય મત નોંધાયા હતા અને અહીં એક પણ મત રદ કરવામાં આવ્યો નહોતો. કચ્છમાંથી પુનિત એચ. દૂધરેચીયા અને મગન આર. ગઢવીએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. મતદાનના સમયે કચ્છના મુખ્ય ઓથોરાઈઝ્ડ પોલિંગ ઓફિસર તરીકે જિતેન્દ્રભાઈ મૂલચંદ ઝવેરીલ, સહાયક તરીકે મલ્હાર ડી. બુચ, હર્ષદ જે. જરાદી, હિતેશભાઈ વેગડ અને અલ્પેશ સલાટની હાજરીમાં કોર્ટ પરિસરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. કુલ 15 હજારથી વધુ મતનું વર્ગીકરણ પૂર્ણ થયું હતું. 1 થી 99 ઉમેદવારોને મળેલા મતની જાહેરાત એક સાથે કરવામાં આવશે. રાજ્યના 150 કેન્દ્રોમાં ભુજ 881 મતદાન સાથે 8મા ક્રમેરાજ્યભરના કુલ 150 મતદાન કેન્દ્રોમાંથી ભુજ કેન્દ્ર મતદાનના આંકડાઓ મુજબ 881 મતદાન સાથે 8માં ક્રમે છે. ભુજ કેન્દ્રમાં કુલ 881 નોંધાયેલા મતદારો સામે 653 મતદાન નોંધાયું હતું. જ્યારે કચ્છ જિલ્લામાં ભુજ બાદ ગાંધીધામ બીજા ક્રમે રહ્યું છે, જ્યાં 615 નોંધાયેલા મતદારો સામે 430 મતદાન થયું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:12 am

PGVCL એક્શન મોડમાં:વીજચેકિંગમાં 2264 વીજ જોડાણોની તપાસ,1.26 કરોડનો દંડ કરાયો

પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરી અને ગેરરીતિઓ રોકવા માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તા. 9 થી 12 માર્ચ દરમિયાન ભુજ વર્તુળ કચેરી હેઠળ વિવિધ પેટા વિભાગોમાં આ અભિયાન યોજાયું હતું. આ ઝુંબેશ દરમિયાન ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, કુકમા, મુન્દ્રા, નખત્રાણા, ખાવડા, ભુજોડી, મુન્દ્રા-ગુંદાલા, માંડવી શહેર તથા માંડવી ગ્રામ્ય વિસ્તારોમાં 31 જેટલી વીજચેકિંગ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટીમોએ ઘરેલુ, વાણિજ્ય, ઔદ્યોગિક અને ખેતીવાડી સહિત કુલ 2264 વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 195 વીજ જોડાણોમાં ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં મીટર સાથે ચેડાં કરવું, બિનઅધિકૃત રીતે વીજ ઉપયોગ કરવો જેવી બાબતો નોંધાઈ હતી. આ ગેરરીતિઓ બદલ સંબંધિત ગ્રાહકોને કુલ અંદાજે 126.2 લાખ રૂપિયાનાં દંડાત્મક બિલ ફટકારવામાં આવ્યા હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે. બીજી તરફ માર્ચ માસ અંત તરફ હોવાથી બાકીદાર ગ્રાહકો પાસેથી વીજ બિલની વસુલાત વધારવા માટે પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી છે. જેમાં લાંબા સમયથી બાકી બિલ ન ભરનાર ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ ભરવા PGVCLની કચેરીઓ રજાઓમાં પણ ખુલ્લી રહેશેપશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ ડિવિઝન દ્વારા વીજ ગ્રાહકો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ફાઈનાન્સીયલ વર્ષ 2025-2026 ના અંતિમ મહિના માર્ચ-2026 માં બાકી વીજ બિલોની વસૂલાત ઝડપી બનાવવા માટે વિભાગીય કચેરીઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે. જેમાં ભુજ સીટી-1 અને ભુજ સીટી-2, ભુજ રૂરલ, માધાપર, દેશલપર, કુકમા, ભુજોડી અને ખાવડા પેટા વિભાગીય કચેરી રજાના દિવસોમાં પણ બિલ ભરી શકાશે માર્ચ-2026 ના મહિના દરમિયાન આવતા દરેક રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં પણ આ તમામ કચેરીઓ વીજ બિલ સ્વીકારવા માટે ખુલ્લી રહેશે. ગ્રાહકો પોતાના બાકી બિલો સમયસર ભરી શકે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:08 am

યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતા સન્માન:ભુજની યુવતીને ભારતના ચીફ જસ્ટિસના હસ્તે ગોલ્ડ મેડલ

ગાંધીનગર ખાતે સ્થિત દેશની એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો હતો. અહીંથી ક્લિનિકલ સાયકોલોજી સાથે એમ.એસસી.નો અભ્યાસ પૂર્ણ કરનારી ભુજની યુવતી યજુષી જયદીપ પટેલે સમગ્ર યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યજુષીની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ પદવીદાન સમારંભમાં તેની ડિગ્રી સાથે દેશના સી.જે.આઈ. સૂર્યકાન્તના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. આ પહેલા યજુષીએ ગાંધીનગર ખાતે સંસ્થા પી.ડી.પી.ઈ.યુ.માંથી બી.એ. ઓનર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમાં પણ તેમણે ગોલ્ડ મેડલ મેળવેલો છે. સ્નાતક તથા અનુસ્તાક બંને અભ્યાસક્રમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી, ભારતના ચીફ જસ્ટિસના હસ્તે સન્માન મેળવનાર યજુષીએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. ભુજના લોકો આજે પણ સેવાભાવી તબીબ તરીકે યાદ કરે છે, તેવા સ્વ. ડો. વી. એચ. પટેલની યજુષી પૌત્રી છે તથા વર્ષા અને જયદીપ પટેલની પુત્રી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:07 am

ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસનું વેચાણ ઝડપાયું:કુકમા ગામમાંથી LCB અને પુરવઠા વિભાગે 174 ગેસની બોટલ જપ્ત કરી

પશ્ચિમી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાઈ છે. જેના અનુસંધાને તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે. ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પુરવઠા શાખાએ સંયુક્ત કાર્યવાહી કરી કુકમા ગામમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલાનો સંગ્રહ અને વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ અને પુરવઠા વિભાગની આ રેડમાં કુલ 174 ગેસની બોટલો મળી કુલ રૂ. 1,59,800/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુકમા ગામના સીકે કોમ્પ્લેક્ષમાં આવેલ ‘બાલાજી એન્ટરપ્રાઇઝ’ નામની દુકાન નં. 07 માં હિરેન અવીનાશભાઇ ટાંક દ્વારા ગેરકાયદેસર ગેસના બાટલા રાખવામાં આવ્યા છે. બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. હાસમી અને LCBની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડતા ગોડાઉનમાંથી 5 કિલો ક્ષમતાના ગેસ ભરેલા 112 બોટલ, 05 કિલો ક્ષમતાના 62 ખાલી બોટલ સહીત કુલ 1,59,800ની કિંમતના 174 નંગ બોટલ કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે માધાપરના રહેવાસી હિરેન અવીનાશભાઇ ટાંકની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર એક્ટ-2000, ગેસ સીલીન્ડર રુલ્સ-2016 અને આવશ્યક ચીજવસ્તુ ધારા-1955 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ શખ્સ ભુજની વિવિધ ગેસ એજન્સીઓ પાસેથી ગેર કાયદેસર રીતે બોટલ ખરીદીને પોતાનો નફો રાખી છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:06 am

ભાસ્કર ફોલોઅપ:કચ્છમાં બુકિંગ સામે માત્ર 32.74 ટકા ગેસના બોટલ

કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ રાંધણ ગેસના જથ્થાને લઈને ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર અને તંત્ર એવા નિવેદનો આપી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકત સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાગતી લાંબી લાઈનો અને બુકિંગ છતાં ડિલિવરીમાં થતો વિલંબ સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યો છે. શુક્રવારના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર કચ્છમાં કુલ 28,820 ગ્રાહકોએ ગેસ રિફિલ માટે બુકિંગ કરાવ્યું હતું. તેની સામે સરકારી ત્રણ મુખ્ય ગેસ કંપનીઓ પાસે માત્ર 9,435 બોટલનો જથ્થો જ હાજર હતો. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ 9,370 બોટલ રસ્તામાં છે, પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ બુકિંગ કરાવ્યાના ચાર-ચાર દિવસ વીતી જવા છતાં ગેસના બોટલ મળતા નથી. ગેસની અછતને છુપાવવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોને એક બોટલ લીધાના 25 દિવસ બાદ જ બીજું બુકિંગ કરાવવા દેવામાં આવશે. જો આમાં 4-5 દિવસનો ડિલિવરી સમય ઉમેરવામાં આવે, તો એક સામાન્ય પરિવારને હવે માંડ મહિનામાં એક બોટલ મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગેસની અછતને પહોંચી વળવા સરકાર આડકતરી રીતે જથ્થા પર કાપ મૂકી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં સરકારે પહેલાથી જ કાપ મૂક્યો છે, જેના કારણે હોટલો, રેસ્ટોરન્ટો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા રસોડાઓ પર સંકટના વાદળો છવાયા છે. જો યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો લોકોએ ફરીથી ગેસના બોટલના બદલે ચૂલા કે ઇન્ડકશન સગડી પર રસોઈ બનાવવાની ફરજ પડશે તેમાં કોઈ શંકા નથી. કચ્છમાં ‘ડિમાન્ડ સામે સપ્લાય માત્ર 50 ટકા’નામ ન આપવાની શરતે એક એલપીજી ડીલરે જણાવ્યું હતું કે, ભુજમાં અત્યારે જે જરૂરીયાત છે તેની સામે કંપનીઓ દ્વારા માત્ર 50% જ જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. અમે જેટલો ઓર્ડર આપીએ છીએ તેનાથી અડધો માલ પણ મળતો નથી, જેના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:03 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારત આવશે હજારો ટન LPG, ઈરાનની પરવાનગી; પીરિયડ્સમાં પેઈડ લીવ વાળી અરજી ફગાવાઈ; કુલદીપના લગ્ન, હલ્દીમાં નાચ્યો ચહલ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનને લઈને છે, ઈરાને બે ભારતીય જહાજોને હોર્મુઝમાંથી નીકળવાની પરવાનગી આપી દીધી છે. આ જહાજો પર હજારો ટન LPG છે. બીજા સમાચાર પીરિયડ્સમાં પેઈડ લીવની માંગવાળી અરજી ફગાવી દેવા અંગેના છે.⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદીના અસમ પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ સિલચરમાં ભૂમિપૂજન કરશે અને આશરે 23,550 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે. 2. અસમ પછી પીએમ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. ₹18,680 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- ભારત અમારો મિત્ર, તેમને સુરક્ષિત રસ્તો આપીશું:હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતના જહાજોને ઈરાનનું ગ્રીન સિગ્નલ; ઓમાનમાં ડ્રોન હુમલામાં 2 ભારતીયોનાં મોત ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ કહ્યું છે કે ઈરાન ભારતને સુરક્ષિત માર્ગ આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા ફતહાલીએ કહ્યું કે તમે આગામી બે કે ત્રણ કલાકમાં તેની અસર જોશો. અમને વિશ્વાસ છે કે ઈરાન અને ભારત આ ક્ષેત્રમાં સમાન હિતો ધરાવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. પીરિયડ્સમાં પેઇડ લીવની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી:CJI બોલ્યા- જો કાયદો બનાવવામાં આવશે તો મહિલાઓને કોઈ કામ નહીં આપે, તેમનું કરિયર ખતમ થઈ જશે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દેશભરની મહિલા વિદ્યાર્થીઓ અને નોકરી કરતી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેઇડ લીવ આપવાની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવી. CJI સૂર્યકાંતે કહ્યું કે આવી અરજીઓ અજાણતાં જ મહિલાઓ વિશેની રૂઢિગત માન્યતાઓને વધુ મજબૂત કરી શકે છે. જો આ કાયદો બનાવવામાં આવે તો મહિલાઓને કોઈ કામ નહીં મળે, તેમની કારકિર્દી સમાપ્ત થઈ જશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. યુવક પાસેથી બદમાશો ગેસનો બાટલો છીનવી ગયા:દેશભરમાં ગેસના બાટલાની અછતના કારણે અફરાતફરી; પંજાબમાં બાટલા લઈને લોકો દોડ્યા, ગેસ માટે લાઈનમાં ઊભેલા વૃદ્ધને હાર્ટએટેક અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં LPGની અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. કોમર્શિયલ સિલિન્ડરનું બુકિંગ 4 દિવસથી બંધ છે. જ્યારે પંજાબમાં લાઈનમાં ઉભેલા એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. કેરળમાં રસોઈ ગેસની અછતને કારણે લગભગ 40% રેસ્ટોરન્ટ બંધ થવાના આરે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. કુલદીપ યાદવની હલ્દીમાં યુઝવેન્દ્ર ચહલનો ડાન્સ, VIDEO:સાંજે સંગીત અને કોકટેલ પાર્ટી; સૂર્યકુમાર-રોહિત સામેલ થઈ શકે છે ક્રિકેટર કુલદીપ યાદવના લગ્નને લઈને મસૂરીમાં સમારોહ શરૂ થઈ ગયા છે. સવારે 11 વાગ્યાથી હલદીની વિધિ શરૂ થઈ, જે બપોરના લગભગ બે વાગ્યા સુધી ચાલી. ત્યારબાદ મહેમાનોએ સ્પેશિયલ લંચ કર્યું, જેમાં એક થાળીની કિંમત 20 હજાર રૂપિયાથી વધુ છે. હલદી પછી સમારોહમાં ડાન્સ અને મસ્તીનો દોર શરૂ થઈ ગયો. આ પહેલા જ ક્રિકેટ અને મનોરંજન જગતની ઘણી હસ્તીઓ મસૂરી પહોંચી ચૂકી હતી. આ ઉપરાંત રિંકુ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, કૈલાશ ખેર અને બોલિવૂડ અભિનેતા કુણાલ કપૂર પણ સમારોહમાં સામેલ થવા માટે મસૂરી પહોંચ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની પણ ટિકિટો મોંઘી: ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ₹425 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ₹2300 સુધી વધારાનો ચાર્જ લાગશે, કારણ- જેટ ફ્યુઅલ મોંઘું એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની ફ્લાઇટ્સ પણ આવતીકાલથી મોંઘી થઈ જશે. દેશની સૌથી મોટી એરલાઇન કંપનીએ શુક્રવારે તમામ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 'ફ્યુઅલ સરચાર્જ' લગાવવાની જાહેરાત કરી છે. એરલાઇને જણાવ્યું કે ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જેટ ફ્યુઅલની કિંમતો 85% સુધી વધી ગઈ છે. આ કારણે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટો પર ₹425થી ₹2300 સુધીનો સરચાર્જ લગાવવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો વિદ્યાર્થી નીકળ્યો:ધો.10ની પરીક્ષા ન આપવા પ્રેંક, મેસેજમાં લખ્યું-'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ ટુમોરો, ગોડ ઈઝ ગ્રેટ, અલ્લાહુ અકબર' 5 માર્ચના રોજ વડોદરાના મકરપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્કૂલને ધમકી આપનાર બહારનો કોઈ વ્યક્તિ નહીં પરંતુ સ્કૂલનો વિદ્યાર્થી જ હતો. જે હાલ CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ધમકીને પગલે મકરપુરા પોલીસે ચેકિંગ પણ કર્યું હતું. આખી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. આકાશમાંથી વરસવાની છે આફત:18-19મીએ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા; કેસર કેરીના પાકને નુકસાન થવાની સંભાવના ગુજરાતમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ હવામાન વિભાગે હવે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી હોવાની આગાહી કરી છે. આગામી 18 અને 19 માર્ચના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હિમાચલના પ્રવાસન પર મિડલ ઇસ્ટમાં તણાવની અસર:હોટલોમાં 50% એડવાન્સ બુકિંગ રદ, રોજનું લાખોનું નુકશાન વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી:મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ; તાલિબાને કહ્યું- આનો જવાબ આપીશું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મોનાલિસાએ જ ડિરેક્ટરની ફિલ્મ કરી નાખી, કરોડોનું દેવું થઈ ગયું:ડિરેક્ટરે કહ્યું- મારી સ્થિતિ રાજપાલ યાદવ જેવી, ફિલ્મ રિલીઝ કેવી રીતે કરું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાએ H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો:હવે પગારના આધારે સિલેક્શન થશે; 1 એપ્રિલથી નવું ફોર્મ I-129 લાગુ પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોના-ચાંદીનાં ભાવ ઘટ્યા:સોનું ₹1,748 ઘટીને ₹1.58 લાખ પ્રતિ 10 ગ્રામ આવ્યું, ચાંદીમાં પણ ₹8,350નો ઘટાડો થયો; અમેરિકા-ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રનઆઉટના ચક્કરમાં બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે વિવાદ:નાટકીય અંદાજમાં સલમાન અલીને BAN કેપ્ટને પેવેલિયન ભેગો કરતા મેદાન પર જ દલીલ થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 15 માર્ચે પાપમોચની એકાદશી:સુખ-શાંતિ અને સફળતાની કામના માટે વ્રત કરો; રવિવારથી મીનારક કમુહૂર્તાનો પણ પ્રારંભ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ રાજસ્થાનમાં ચોરી કરીને મહિલાઓ દાગીના ગળી જતી હતી રાજસ્થાનમાં ભીલવાડા પોલીસે એક મહિલા ચોર ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગની મહિલાઓ જ્વેલરી ચોરી કર્યા પછી તેને ગળી જતી હતી. જ્યારે પોલીસ કર્મચારીઓએ 7 મહિલાઓની ધરપકડ કરીને મેડિકલ ચેકઅપ કરાવ્યું, ત્યારે તેમના પેટમાંથી મંગળસૂત્ર અને સોનાના મોતી મળી આવ્યા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : મંત્રીએ પૂછ્યું ગુજરાતના CM કોણ?, જવાબ મળ્યો ‘મોદીજી’:અધિકારી ‘BF-GF’ બોલ્યા ને ચર્ચામાં આવી ગયા; ગેસની અછત પર વોટ્સએપમાં જબરા મેસેજ ફરતા થયા 2. એક્સક્લૂસિવ : દુબઇમાં ફસાયેલા પતિ-પત્નીને જ્યારે BAPSના સંતનો ફોન આવ્યો:ભાસ્કરને કહી આંખ ભીની કરી દેતી આપવીતી; એરપોર્ટ બંધ થઇ ગયું, હોટલ પર પહોંચ્યા તો ભાડું વધી ગયું 3. ફિલ્મી ફેમિલી : સેમિફાઇનલમાં ભારત હારતા શફી ઇનામદારનું હાર્ટ અટેકથી મોત:ગુજરાતીની આંગળી પકડી નાટકો શીખ્યા, કાર થાંભલા સાથે અથડાતા પત્નીનું મોત 4. 'UPમાં અવિમુક્તેશ્વરાનંદ કેસ અને UGCનો કાઉન્ટર કરે BJP':RSSનો મેસેજ- યોગી જ ચહેરો, શિસ્તહીન લોકોને બહાર કરો 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : ફિલ્મ નિર્માતાની શંકાના વમળમાં પરિવાર હોમાયો!:દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડથી નારાજ, પત્ની પર આડા સંબંધનો આરોપ; એક્ટર કમલનું 'થ્રિલર ફિલ્મી' જીવન 6. આજનું એક્સપ્લેનર:1600 કરોડ મળ્યા હતા, ટ્રમ્પે 6 દિવસમાં જ 20 ગણા ઉડાવી દીધા; ક્યાંથી આવ્યા ઈરાન સામેના યુદ્ધના પૈસા, કેવી રીતે થશે ભરપાઈ? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: વૃષભ અને વૃશ્ચિક રાશિ માટે આર્થિક રીતે દિવસ ભાગ્યશાળી રહેશે, મિથુન અને મીન રાશિને મિલકતના સોદામાં સફળતા મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:00 am

MSUમાં ‘લેગેસી ઓફ અટલ બિહારી વાજપેયી’ પર સેમિનાર:અટલજીને આપણે રાજનેતાના રૂપમાં યાદ કરીએ છે પણ કવિના રૂપમાં નહીં

આદમી ન ઊંચા હોતા હૈ, ન નીચા હોતા હૈ, ન બડા હોતા હૈ, ન છોટા હોતા હૈ, આદમી સીર્ફ આદમી હોતા હૈ.. સાંભળતાં જ અટલ બિહારી વાજપેયીની કવિ છબી નજર સમક્ષ આવતી હોય છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ‘હું અટલ છું’: અટલજીનું સાહિત્ય’ વિષયે યોજાયેલા પરિસંવાદમાં ડો.દર્શિની દાદાવાલાએ સમુદ્ર મંથનની કથાથી શરૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, માનવ દેવ કે દાનવ નથી. તેની શક્તિઓ સીમિત છે. આ કથાનો માનવ છલ નહીં, બલ પૂર્વક જીવે છે. સીમિત શક્તિઓનો અર્થપૂર્ણ ઉપયોગ કરે છે. આ માનવ વાસ્તવમાં કવિ છે. તેઓએ કાવ્યોથી જનવાણીમાં જીવન પ્રવાહ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. રાજનેતાના રૂપમાં યાદ કરીએ છીએ પણ કવિના રૂપમાં યાદ નથી કરતા. મ.સ.યુનિ.માં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં 120 જેટલા પ્રોફેસર, સંશોધક અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં એન એનોટેટેડ બિબ્લોગ્રાફી નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:52 am

ઝળહળતી સિદ્ધિ:ડિસ્ટ્રિક્ટ લેવલ ચેસ કોમ્પિટિશનમાં અંડર-7માં રિદિત મલિક અને જિઆ ગાંધી બીજા ક્રમે આવ્યા

સરગમ એકેડેમી દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ચેસ ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે. જેથી તેઓ વિવિધ રમતો શીખી અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પણ જતા હોય છે. આવી જ એક ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન વડોદરા ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેની અંદર મોટી સંખ્યાની અંદર વડોદરા જિલ્લાથી અલગ અલગ કેટેગરીની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રિદિત મલિકે અંડર-7 છોકરાઓની શ્રેણીમાં બીજું, જિઆ ગાંધીએ અંડર-7 છોકરીઓની શ્રેણીમાં પણ બીજું, આશ્વી તાવીયાડ - અંડર-11 છોકરીઓ શ્રેણીમાં બીજું, પ્રાનશુલ મિસ્ત્રીએ અંડર-7 શ્રેણીમાં 8મું અને યુગ રાણા અંડર-7 શ્રેણીમાં 9મું સ્થાન મેળવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:50 am

ફોટોગ્રાફર અમિત મકવાણાનું સોલો એક્ઝિબિશન:‘થ્રૂ માય વિઝન’માં ગરબાની સંસ્કૃતિથી જીવનશૈલીથી કુદરતની ગેલેરી દર્શાવી

અલકાપુરી સ્થિત આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફર અમિત મકવાણા દ્વારા ‘થ્રૂ માય વિઝન’ નામે પિક્ટોરીયલ ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું હતું. પ્રદર્શનમાં કુલ 30 ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા હતા, જેમાં કચ્છ, મહારાષ્ટ્ર, શિમલા અને અમદાવાદ જેવા સ્થળોના દૃશ્યો કેદ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને નવરાત્રી દરમિયાન પનઘટ ગ્રુપ પ્રેક્ટિસ કરી રહ્યું હતું ત્યારે લેવામાં આવેલો ફોટોગ્રાફ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 15-16 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યો છું અને તેઓ મારો શોખ છે. પ્રદર્શનમાં વિવિધ સ્થળોની સંસ્કૃતિ, જીવનશૈલી અને કુદરતી દૃશ્યોને પિક્ટોરીયલ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:49 am

ASI આપઘાત કેસ:એએસઆઈએ કામના તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ

દંતેશ્વરમાં રહેતા એએસઆઈએ ગુરુવારે બેડરૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. એક જ અઠવાડિયામાં 2 પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મકરપુરા પોલીસે એએસઆઈના આપઘાત કેસમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, તેઓને કામનું ભારણ હતું અને 4 મહિનાથી કહેતા હતા કે, કામનું ભારણ વધારે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અનુ સોસાયટીમાં રહેતા 57 વર્ષીય એએસઆઇએ ગુરવારે આપઘાત કરી લીધો હતો. મકરપુરા પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. સપ્તાહમાં 2 પોલીસ કર્મીઓના આપઘાતને કારણે પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. જેમાં પરિવારના નિવેદન સાથે સહકર્મચારીના નિવેદનો લેવામાં આવશે. પીએસઆઈ જે.એસ વસાવાએ જણાવ્યું કે, તેઓ 4 મહિનાથી કહેતા હતા કે, કામનું ભારણ છે. અધિકારી પર આક્ષેપ કર્યાનું બહાર આવ્યું નથી. તપાસ થઇ રહી છે. તેઓને હ્રદયમાં 2 સ્ટેન્ડ મુકાવ્યા હતા, તેઓની દવા ચાલી રહી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:46 am

તંત્રની બેદરકારી છતી થઈ:નિઝામપુરા બસ ડેપો પાસે ત્રીજી વખત પાણીની લાઈનમાં લીકેજ, રેલા 1 કિલોમીટર સુધી રેલાયા

નિઝામપુરા એસટી ડેપોની નજીક મુખ્ય રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. ભર ઉનાળે હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. લાઈનમાંથી નીકળેલું પાણી રોડ પર ફેલાવ્યું હતું અને અંદાજિત 1 કિમી લાંબો રેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી સમારકામ શરૂ કર્યું હતું. હાલમાં તાપમાનનો પારો ઊંચે જતા પાણીની માંગ પણ વધી છે. તેવામાં નિઝામપુરા વિસ્તારમાં પાણીની લાઈનમાં પડેલા ભંગાણના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. નિઝામપુરામાં એસટી બસ ડેપો નજીક પાણીની લાઈનમાં ભંગાર થતા રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે ત્યાંથી અવરજવર કરતા વાહનચાલકોને પરીક્ષાની થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું હતું કે, એક જ સ્થળ પર ત્રીજી વખત લાઈનમાં લીકેજ થયું છે. એક મહિનામાં આ બીજી વખતનું લીકેજ છે. વારંવાર આજ સ્થળે પાણીની લાઈન તૂટી હોવા છતાં તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેના કારણે પાણી લોકોને મળવાની જગ્યાએ ગટરમાં જઈ રહ્યું છે. ભર બપોરે પાણી નીકળતા દુકાનો અને સોસાયટીમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી. પાલિકાની વોર્ડની ટીમ સ્થળે દોડી હતી અને સમારકામ શરૂ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:44 am

જીપીસીબી દ્વારા અલ્ટિમેટમ અપાયું:નંદેસરી જીઆઇડીસી સહિત 6 ઉદ્યોગોને 7 દિવસનું અલ્ટીમેટમ,દુર્ગંધ ન ફેલાય તે રીતે મટિરિયલ્સ વાપરો

4 દિવસ પૂર્વે સોમવારે સાંજે માથું ફાડી નાખતી દુર્ગંધ ફેલાઇ હતી. તે પછી જીપીસીબીએ નંદેસરી જીઆઇડીસી સહિત 6 ઉદ્યોગને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જીપીસીબીએ સૂચવેલા સુધારા અને સાવચેતી ઉદ્યોગોને લેવાની છે. જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી માર્ગીબેન પટેલે કહ્યું કે, 4 દિવસથી ટીમો 4થી 6 યુનિટમાં રૂબરૂ ઇન્સ્પેક્શન કરી રહી છે. 7 દિવસ પછી કોઇ ઉદ્યોગ પકડાશે તો કાર્યવાહી કરાશે.સૂત્રોએ કહ્યું કે, કેટલાક ઉદ્યોગો જુદી જુદી બેચમાં પ્રક્રિયા કરે છે. જીપીસીબીએ નંદેસરી એસો.ને બપોરથી રાત સુધી દુર્ગંધ ફેલાય તેવી પ્રોસેસ ન કરવા જણાવ્યું છે. ભાસ્કર ઇનસાઇડનાગરિકોના આરોગ્ય પર દુર્ગંધની અસરનો અભ્યાસ જ કરાયો નથીવડોદરામાં દુર્ગંધની સમસ્યા દાયકા જૂની છે, પણ દુર્ગંધ ફેલાય ત્યારે લોકોના મનમાં ભય ફેલાય છે. હજારો લોકો સાથે સંકળાયેલી સમસ્યા છે અને આ મુદ્દે અત્યાર સુધીની સરકારો દ્વારા તેની માનવ આરોગ્ય પર શી અસર થાય તેનો અભ્યાસ કરાયો નથી કે ચૂંટાયેલા કોઇ નેતાએ ક્યારેય આ વિશે જાહેર માગ કરી નથી. જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી માર્ગીબેન પટેલ કહે છે કે, આ દુર્ગંધના મૂળમાં કોઇ એક વાયુ જવાબદાર હોતો નથી. બેથી વધુ વાયુ ભેગા થતાં વિચિત્ર વાસ સર્જાય છે. આ માત્ર પ્રદૂષકોની બાબત નથી. દાખલા તરીકે પેટ્રોલની વાસ કેટલાકને ગમતી નથી પણ તે વાસ આવે છે એટલે તે પ્રદૂષક છે એવું નથી. આ ઉદ્યોગોને પ્રોસેસનો સમય બદલવા સૂચના 1. નંદેસરી જીઆઇડીસી : બધા જ પ્રકારના ઉદ્યોગો છે, તેથી દુર્ગંધના એકથી વધુ સ્રોત 2. રિફાઇનરી : હાઇડ્રોકાર્બન 3. GSFC : એમોનિયા, સલ્ફર ડાયોક્સાઇડ-એસિડની વરાળ 4. રિલાયન્સ : હાઇડ્રોકાર્બન 5. પાનોલી ઇન્ટરમિડિયેટ : વોલેટાઇલ ઓર્ગેનિક સંયોજનો 6. જયંત એગ્રો : વોલેટાઇલ ઓર્ગેનિક સંયોજનો (સ્ત્રોત : જીપીસીબી વડોદરા)

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:41 am

ગેસ બોટલ માટે સતત ત્રીજા દિવસે રઝળપાટ:વાસણામાં લોકો જતાં એજન્સી બંધ મળી, માટીના ચૂલાનું વેચાણ વધ્યું

ગેસ બોટલ મુદ્દે સતત ત્રીજા દિવસે હોબાળો જોવા મળ્યો હતો. વાસણામાં ઇન્ડિયન ગેસ એજન્સી પર પહોંચેલા લોકોને એજન્સી બંધ મળી હતી. જેથી લોકોએ રોષ ઠાલવી કહ્યું કે, બોટલોનું ઓનલાઇન બુકિંગ કરવાનું કહે છે, પરંતુ બુકિંગ થતું નથી. બીજી તરફ શહેરમાં માટીના ચૂલાનું વેચાણ વધ્યું છે. અગાઉ અઠવાડિયે 1 ચૂલો વેચાતો હતો, જ્યારે હાલ 10થી વધુ ચૂલા રોજ વેચાય છે. યુદ્ધને કારણે ગેસની અછત થવાની શક્યતા વચ્ચે ગેસના બોટલ માટે 3 દિવસથી એજન્સીની બહાર લાઇનો લાગી રહી છે. બીજી તરફ સંચાલકો એજન્સી બંધ કરી દરવાજા પર ઓનલાઇન બુકિંગ કરવા જણાવાય છે. એજન્સીમાં બોટલ લેવા પહોંચેલા નાગરિકે કહ્યું કે, 6 દિવસથી બોટલ નોંધાવ્યો છે, પણ હજુ મળ્યો નથી. અન્ય નાગરિકે બળાપો ઠાલવતાં કહ્યું કે, સર્વર ડાઉન છે. બુકિંગ માટેનો નંબર લાગતો નથી. બોટલોના કાળા બજાર થતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. કોમર્શિયલ બોટલોની ભારે અછત છે ત્યારે ઘરગથ્થુ બોટલોનો કોમર્શિયલી ઉપયોગ થઇ રહ્યો છે. ઘરગથ્થુ બોટલો વધુ ભાવે લઇ રેસ્ટોરન્ટ સહિતની ખાણી-પીણીની લારી પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકોએ ગભરાવાની જરૂર નથીજિલ્લામાં ગેસના જથ્થાની કોઈ અછત નથી. વડોદરાના નાગરિકોને ગેસના જથ્થા બાબતે ગભરાવાની કે પેનિક થવાની જરૂર નછી. દરેક ગ્રાહકને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહેશે. > ગીતાબેન દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી લાકડાનો ઉપયોગ કરી દાળ, ભાત, શાક બનાવીએ છીએલગ્નો સાથે રેગ્યુલર કેટરિંગ સર્વિસ ચાલે છે ત્યારે બોટલની અછત છે.લાકડાના ઉપયોગથી કેટરિંગમાં દાળ, ભાત, શાક બનાવીએ છીએ. જ્યારે પૂરી સહિત ફરસાણ માટે ગેસનો ઉપયોગ કરાય છે. બોટલ 5 દિવસ ચાલે તેટલી જ વ્યવસ્થા છે. > નીતિન પટેલ, કેટરર્સ ચાની લારી, સેવઉસળ-ભજિયાં વેચતા દુકાનદારો માટીના ચૂલા ખરીદી રહ્યા છેગેસ બોટલ મળતા નથી, જેથી માટીના ચૂલાનું વેચાણ વધ્યું છે. પહેલાં અઠવાડિયે 1 ચૂલો વેચાતો હતો, હવે રોજના 10થી વધુ વેચાય છે. રૂા.500 થી 1500ના માટીના ચૂલા હોય છે. જે ઇંટ અને માટીના લીંપણથી તૈયાર કરાય છે. અત્યારે ચાની લારીવાળા, સેવઉસળવાળા, ભજિયાની લારી ચલાવતા વેપારીઓ માટીના ચૂલા લઇ જાય છે. > રાકેશ પ્રજાપતિ, કુંભાર ઇસ્કોન મંદિર દ્વારા 1200 મણ લાકડાં ખરીદ્યાંગોત્રી ઇસ્કોન મંદિરે 1200 મણ લાકડાં ખરીદ્યાં છે. નિત્યાનંદ સ્વામીએ જણાવ્યા મુજબ મંદિરના સ્ટાફ અને ભક્તો સહિત રોજ 300 લોકોનું સવાર-સાંજ જમવાનું બને છે. અત્યારે બોટલ મળી રહે છે. આગામી સમયમાં સમસ્યા સર્જાય તો ભંડારો બંધ ન કરવો પડે તે માટે લાકડાં ખરીદ્યાં છે.રૂા.160ના એક મણના ભાવે આ લાકડાં ખરીદાયાં છે. હજુ વધુ લાકડાં ખરીદીશું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:38 am

કરોડિયાના જમીન અને આકારણી વિવાદ બાદ કાર્યવાહી:આકારણી વિભાગમાં 14 વર્ષથી ચીપકેલા 5 સિનિયર ક્લાર્ક સહિત 7 કર્મીની બદલી

આકારણી શાખામાં 14-14 વર્ષથી ચીપકેલા સિનિ. ક્લાર્કની સાગમટે બદલી કરાતાં સોંપો પડી ગયો છે. નિયમ મુજબ બદલી કરી હોવાનું ડે.કમિશનરે કહ્યું હતું. જોકે કરોળિયામાં જમીન-આકારણી વિવાદ બાદ કાર્યવાહી કરાયાનું મનાય છે. કરોડિયામાં જમીન-આકારણીના વિવાદમાં આકારણી વિભાગમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. ડે.કમિશનર ગંગા સિંઘે વર્ષોથી આકારણી વિભાગમાં ફરજ બજાવતા 5 સિનિ. ક્લાર્ક અને 2 જુ. ક્લાર્કની બદલી કરી છે. સૂત્રો મુજબ આકારણીના કેટલાક કર્મીની અગાઉ બદલી થઈ હતી. જોકે ફરી તે આકારણી વિભાગમાં આવી જતાં વિવાદ થયો હતો. નોંધનીય છે કે, કરોડિયા જમીન વિવાદમાં વોર્ડ 8ના મહામંત્રી અને પ્રમુખનાં રાજીનામાં લેવાયાં હતાં. કરોડિયા જમીન-આકારણી વિવાદમાં વોર્ડ 8નો પટાવાળો આખરે સસ્પેન્ડભૂતકાળમાં પાલિકાના કેટલાક કર્મી દ્વારા નેતા-વગદારોની મિલકતની આકારણીમાં ફેરફાર કરી ફાયદો કરાવ્યો હોવાની ફરિયાદો ઊઠી હતી. તાજેતરમાં કરોડિયાની બિનખેતી જમીનમાં બાંધકામ અને વેચાણ કરી છેતરપિંડી કરાયાનો વિવાદ સપાટી પર આવ્યો હતો. જ્યારે આકારણી મુદ્દે વિવાદ થયો હતો. સૂત્રો મુજબ આકારણી વિવાદમાં વોર્ડ 8ના પટાવાળા રણજિતસિંહ મકવાણાની વિવાદાસ્પદ ભૂમિકા જણાઈ હતી. વોર્ડના અધિકારીઓની મૌખિક રજૂઆતને ધ્યાનમાં રાખી પટાવાળા રણજિતસિંહને સસ્પેન્ડ કરાયો છે. અધિકારીઓનું કહેવું છે કે, આકારણી વિવાદની તપાસ કરવાની હોવાથી કાર્યવાહી કરી છે. આ મુદ્દે પાલિકા કે અન્ય તરફથી પોલીસ ફરિયાદ થઇ નથી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:36 am

ચોરીનો મામલો આવ્યો સામે:મોરબીમાં કોટન મિલમાંથી CCTV, TV, વાયર સહિત 2.05 લાખની ચોરી

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલી બંધ પડેલી કોટનમીલમાંથી તસ્કરો સીસીટીવી કેમેરા, એનવીઆર, ટેલિવિઝન, કોપર વાયર તેમજ કોપર પ્લેટ સહિતની ચીજવસ્તુ મળી રૂ.2.05 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. જો કે બંધ પડેલી કોટન મીલમાંથી આઠ દિવસ પહેલા થયેલી ચોરીની હવે છેક ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી અંગે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે નવનિયુક્ત આઇજી નિર્લિપ્ત રાયે આ મુદે ફરિયાદ ન નોંધવા મુદે હજુ પણ વધુ કડક વલણ અપનાવવું જ રહ્યું. મોરબીના ગાળા ગામની સીમમાં મધુસુદન પેપરમીલ પાછળ આવેલી બજરંગ કોટનમીલ હાલ બંધ હાલતમાં હોય તસ્કરોએ તેનો ગેરલાભ ઉઠાવી ચોરીના ઇરાદે ગત 3 માર્ચના રોજ બંધ કોટનમિલમાં ત્રાટકયા હતા. તસ્કરોએ આ આખી કોટનમિલને ધમરોળી તેમાં રહેલા સીસીટીવી કેમેરા, સીસીટીવીનું એનવીઆર, ટીવી, કોપરની પ્લેટ તેમજ અલગ અલગ લંબાઈના કોપર વાયર સહિત કુલ રૂપિયા 2,05,000ની માલમતા ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. પોતાની બંધ કોટનમિલમાં ચોરી થયાનું માલુમ પડતા શહેરના રવાપર ઘુનડા રોડ, બોનીપાર્ક પાછળ, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા કોટનમીલના સંચાલક જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલાએ તાલુકા પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:28 am

નંદીઘરના શ્રીગણેશ કરાયા:મોરબીમાં રખડતા ભટકતા ગૌવંશને સાચવવા ફરીથી નંદીઘર શરૂ કરાયું

મોરબીમાં નગરપાલિકા વખતે પંચાસર રોડ ઉપર નંદીઘર કાર્યરત હતું. પરંતુ તેમાં વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા આ ગૌવશને નિભાવવાનો ગંભીર પ્રશ્ન ઉભો થતા તમામ ગૌવશને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલી નંદીઘર બંધ કરાયા મનપાએ ફરીથી નંદીઘરને ચાલુ કર્યું છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા નંદીઘરને ફરીથી તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાંથી અંદાજે ૧૫૦ ખૂંટને પકડીને નંદીઘરમાં મૂકવામાં આવ્યા છે. જેમાં રખડતા પશુની સાચવણી અને જાળવણી કરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા ANCD શાખા દ્વારા માર્ચ ૨૦૨૫થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૨૧૦ જેવા પશુ માલિકોને લાઈસન્સ અને ૩૧ જેટલા ઘાસ વેચાણ માટેનો પરમિટ આપી ૩૩ પેટ ડોગના રજિસ્ટ્રેશન કર્યા છે. પશુ માલિકોને પશુ રજિસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે તાકીદ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:25 am

ગ્રામજનો મનપાના નિર્ણય સામે રોષે ભરાયા:મોરબીના રવાપરમાં શાકમાર્કેટ બનાવવાનો નિર્ણય રદ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી નજીક આવેલા અને સૌથી વધુ વિકસિત ગામ તરીકે ઓળખાતા રવાપરના પાદરની જગ્યાનો ગ્રામજનો રમત ગમતના મેદાન તરીકે અને સામાજિક, ધાર્મિક પ્રસંગો તરીકે ઉપયોગ કરતા હોવા છતાં મનપાએ એ સ્થળે શાક માર્કેટ બનાવવાના નામે ઉપયોગી સુવિધા ઉપર તરાપ મારી હોવાનો સૂર ગ્રામજનોમાંથી ઉઠવા પામ્યો છે. આથી ગ્રામજનોએ કલેકટરને આવેદન આપી શાક માર્કેટ રદ કરી આ જગ્યાને ગ્રામજનોની સુવિધા માટે જ જેમની તેમ યથાવત રાખવાની માંગ કરી છે અને જો મનપા નિર્ણય રદ નહિ કરે તો આંદોલનની આપી છે. રવાપર ગામના લોકોએ કલેકટરને આવેદન આપતા જણાવ્યું હતું કે, રાજાશાહી વખતે જ રવાપર ગામના તેમના પૂર્વજોને ગામના પાદરની ખરાબાની જગ્યાને રમત ગમત, ધાર્મિક, સામાજિક કાર્યો માટે ફાળવવામાં આવી હતી. આથી વર્ષોથી ગામ લોકો આ સ્થળનો રમત ગમતના મેદાન તેમજ ગામના વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગ કરે છે. આ સ્થળ રવાપર ગામની પ્રાથમિક સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રમવા માટેનું એકમાત્ર મેદાન હોય એમાં વિવિધ રમતો અનેક રચનાત્મક પ્રવૃત્તિઓથી ગામના બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ જગ્યાએ શાકભાજી માર્કેટ બનાવવાનું જાહેર કરીને સમસ્ત ગ્રામજનોની ઉપયોગી સુવિધા છીનવાનો પ્રયાસ કરવામાં આવતા ગ્રામજનોએ મનપાના આ નિર્ણય સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. જો અહીં શાક માર્કેટ બનશે તો સડેલા શાકભાજી જ્યાં ત્યાં ફેંકવાથી ગંદકી ફેલાશે અને બાળકોનું રમત ગમતનું મેદાન તેમજ ગ્રામજનોના ધાર્મિક, સામાજિક કાર્યોની સુવિધા બચશે જ નહીં તેવી ભીતિ વ્યક્ત કરી જો મનપા અહીં શાક માર્કેટ બનાવાનો નિર્ણય રદ નહિ કરે તો આગામી દિવસોમાં કાયદાકીય રાહે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:24 am

વીજબિલ વસુલવા તંત્રે તણખાં વેર્યાં:મોરબીમાં 17મીએ મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ

મોરબીમાં પીજીવીસીએલ હજુ પણ ઘણા બાકીદારો વીજ બિલ ભરવામાં આળસુ હોવાથી ફરી PGVCLની ટીમ બાકી વીજ બિલની કડક વસુલાત માટે મેદાનમાાં ઉતરી આવી છે અને 17 માર્ચ પહેલા બાકી વીજ બિલ હોય એવા તમામ લોકોને વીજ બિલ ભરી દેવાની તાકીદ કરી છે. જેમાં આગામી તારીખ 17 માર્ચને મંગળવારના રોજ મોરબીમાં ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. મોરબી પીજીવીસીએલે ફરીથી બાકી વીજ બીલની ઉઘરાણી માટે આકરી ઝુંબેશ હાથ ધરી છે. આથી જે લોકોએ વીજ બિલ ભરવામાં આળસ દાખવી છે. આવા લોકોએ આળસ ખંખેરી જો 17 માર્ચ પહેલા બાકી વીજ બિલ વીજ કચેરીએ કે ઓનલાઈન નહિ ભરે તો 17 માર્ચે પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવીને ત્રાટકશે અને અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી બાકી બિલ હશે તેવા લોકોના વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી કરવાની પીજીવીસીએલે તાકીદ કરી છે. રી કનેક્શન ચાર્જ ભર્યા પછી જ જોડાણ મળશે પીજીવીસીએલની આ ડ્રાઈવ દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ. જો કોઈ ગ્રાહકનું પાવર કનેક્શન કાપવામાં આવશે, તો ત્યારબાદ તેમને પૂરેપૂરું બાકી બિલ અને તેની સાથે રી-કનેક્શન ચાર્જ પણ ફરજિયાત ભરવો પડશે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેઓને વહેલી તકે બિલ જમા કરાવી ડિસકનેક્શનની આ કડક કાર્યવાહી અને વધારાના ચાર્જથી બચવાનું પીજીવીસીએલે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:22 am

યુદ્ધના લીધે હજારો ટ્રકોના પૈડા થંભી ગયા:ગેસ સપ્લાય ખોરવાતા સિરામિક - સંલગ્ન ઉદ્યોગો પર સંકટ, રાજસ્થાન, પંજાબથી આવતા 8 હજારથી વધુ ટ્રક થંભી ગયા

ઈરાન અને ઇઝરાયેલ -અમેરિકાના યુદ્ધની સ્થિતિને પગલે એક સપ્તાહથી પ્રોપેન ગેસની અછતને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને તેની સાથે સંલગ્ન અન્ય ઉદ્યોગ પણ ગંભીર સંકટમાં મૂકાયા છે. ગેસ પુરવઠો ખોરવાતા આશરે 400થી વધુ સિરામિક કારખા નાઓને બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે મોરબીના ઉદ્યોગ વિસ્તારોમાં સીધી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 800 જેટલા સિરામિક કારખાનાઓ કાર્યરત છે. આ કારખાનાઓ માટે દરરોજ કાચો માલ લાવવા અને તૈયાર માલ દેશભરમાં મોકલવા માટે હજારો ટ્રકની અવરજવર રહેતી હતી. જો કે મધ્યપૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પ્રોપેન ગેસની સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે, જેના કારણે પ્રોપેન આધારિત લગભગ 400 કારખાનાઓ બંધ થતાં પરિવહન પણ ઘટી ગયું છે. અને ઉદ્યોગ પર સીધી અસર પડી છે અને રોજના હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે. હાલ આ ડ્રાઈવરોને પણ ખબર નથી કે કારખાનાઓ ક્યારે ફરી શરૂ થશે જો ગેસ પુરવઠાની આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેશે તો મોરબીના સિરામિક તેમજ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પડવાની શક્યતા વ્યક્ત કરી છે. અમે એક સપ્તાહથી મોરબીમાં ફસાઇ ગયા છીએમોરબીનો સિરામિક ઉદ્યોગ અચાનક બંધ થઈ જશે એવી કલ્પના પણ કોઈએ કરી ન હતી. જેના કારણે રાજસ્થાન સહિત દેશના જુદા જુદા રાજ્યોમાંથી ઘણા ટ્રાન્સપોર્ટર કાચો માલ ભરેલા ટ્રક મોરબી તરફ મોકલી ચૂક્યા હતા. જો કે ટ્રક મોરબી પહોંચતા જ અહીં કારખાનાઓ બંધ થઈ ગયા, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવેલા ઘણા ડ્રાઈવર છેલ્લા એક સપ્તાહથી મોરબીમાં જ ફસાઈ ગયા છે તેમ શુભેન્દ્ર કુશવાલ નામના ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતું. વાહનોના વીમા, ડ્રાઇવર ક્લિનરના ખર્ચ ક્યાંથી કાઢીશું? યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાય બંધ થતાં કારખાનાઓ બંધ થઈ ગયા છે અને ટ્રકોના પૈડાં થંભી ગયા છે. હાલ માર્ચ મહિનો ચાલતો હોવાથી ટ્રાન્સપોર્ટર્સ માટે બેંક લોનના હપ્તા, વાહનોના વીમા અને ડ્રાઈવર-ક્લિનરના પગાર જેવા ખર્ચાઓ ભરવા મુશ્કેલ બનશે તેવી ચિંતા રાજસ્થાનના ટ્રાન્સપોર્ટર શુભકર્મ બિશ્નોઈએ વ્યક્ત કરી હતી. 15 હજારથી વધુ ડ્રાઇવર, ક્લિનરની રોજગારી છીનવાઇ મોરબીમાં દરરોજ અંદાજે 8 હજારથી વધુ ટ્રકની અવરજવર રહે છે. આ ટ્રક કાચો માલ પહોંચાડતા અને તૈયાર માલ દેશના વિવિધ રાજ્યોમાં પહોંચાડતા હતા. પરંતુ હાલ કારખાનાઓ બંધ થતાં ટ્રકોની અવરજવર ખૂબ ઘટી ગઈ છે, જેના કારણે 15 હજાર જેટલા ડ્રાઈવર અને ક્લીનરની રોજગારી પર પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. > પ્રભાતભાઇ ડાંગર, ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. પ્રમુખ

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:16 am

ખારવાથી માળોદ સુધીનો રસ્તો ખાડામાં ફેરવાયો‎:વઢવાણ તાલુકાના પાંચ ગામોને જોડતા 10 કિ.મી. રોડ પર છ મહિનાથી મોટા ગાબડાં

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામીણ રસ્તાઓની હાલત દયનીય બની છે. ખાસ કરીને માળોદ, વાધેલા અને ખારવા ગામને જોડતો અંદાજે 10 કિમીનો મુખ્ય રસ્તો છેલ્લા છ મહિનાથી અત્યંત બિસ્માર હાલતમાં છે. ખાડાઓ અને કાદવના સામ્રાજ્ય વચ્ચે દરરોજ 10 હજારથી વધુ ગ્રામજનો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. વઢવાણ તાલુકાના ગામોને જોડતા રસ્તા બિસ્માર બન્યા છે. જેમાં માળોદ ખારવા ગામનો રસ્તો બિસ્માર છે. આ વિસ્તારના લોકો ખેતી તેમજ રોજગાર માટે રોજ આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ રસ્તો બિસ્માર હોવાથી ખાસ કરીને વરસાદી મોસમમાં કાદવ અને પાણી ભરાઈ જતા વાહનો ચલાવવું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત લોકો ને લાંબો ફેરો કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવું પડે છે. આ અંગે પટેલ અમિતભાઇ અસવાર ધર્મેન્દ્રસિંહ વગેરે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માણોદ ગામથી ખારવા સુધીનો લગભગ 10 કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ રસ્તો નવો બની જાય તો ટીંબા, ગોમટા ખારવા અને બલદાણા જેવા આસપાસના ગામોના લોકોને પણ મોટી રાહત મળશે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કામગીરી હાથ ધરાઈ નથી. તેથી ગ્રામજનોમાં તંત્ર સામે રોષ છે અને તાત્કાલિક રસ્તો નવો બનાવવાની લોકોમા ખાસ માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:09 am

ગોકુલનગરમાં ગટરના પાણીની રેલમછેલ:સુરેન્દ્રનગરના 1000થી વધુ નાગરિકો નર્કાગાર જેવી હાલતમાં જીવવા મજબૂર

ઝાલવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભૂર્ગભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં 1000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. જેઓ ગંદકી અને દુર્ગંધના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. આ અંગે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં પાંચ દિવસ વિતવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ભૂર્ગભ ગટરના ઢાંકણાઓમાંથી સતત ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. આ અંગે વશરામભાઈ પ્રભુભાઈ રબારી, ગલાલભાઈ રઘુભાઈ, ધીરૂભાઈ રઘુભાઈ, પ્રવિણભાઈ વશરામભાઈ, પ્રકાશભાઇ રામજીભાઈ અને મેહુલભાઈ અજુભાઈ સહિતના આગેવાનોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગટરના ગંદા પાણીથી આખાય વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. પરિણામે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. રહીશોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂર્ગભ ગટરની સાફ-સફાઈ કરવામાં આવે અને રસ્તાઓ પરથી ગંદા પાણી દૂર કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ગટરના પાણી રસ્તાઓ પર ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ વિસ્તારમાં રહેતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. સ્થાનિકોને ડર છે કે જો વહેલી તકે સફાઈ નહીં થાય તો વિસ્તારમાં પાણીજન્ય કે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે . આટલુ ઓછુ હોય તેમ પાણીના વારે નળમાં ભૂર્ગભ ગટરના તેમજ ખાળકૂવાના પાણી મિશ્રિત થઇને આવતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે યોગ્ય કરવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:08 am

કાચા‎ કામના કેદીનું મોત થયું:થાન હત્યા કેસના 72 વર્ષીય આરોપીનું મોત‎

સુરેન્દ્રનગરની જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા 72 વર્ષના ખાખરાળી ગામના વ્યકિતનું મોત થયુ હતુ.તેમને હ્દયની બીમારી હતી.તેમ છતાં મોતનું સાચુ કરણ જાણવા મૃતદેહને રાજકોટ લઇ જવામાં આવ્યો છે.તેમ જાણવા મળે છે. આજથી પાચ વર્ષ પહેલા થાનના ખાખરાડી વિડમાં પશુ ચરાવવા બાબતે બે રબારી પરિવાર વચ્ચે બોલાચાલી થઇ હતી.જેમાં એક વ્યકિતની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં આરોપી તરીકે ખાખરાળીના ખીમાભાઇ રબારી તથા તેમના બે દિકરા,બે ભત્રીજા સહિત સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આથી પોલીસે તેમની અટક કરીને કાચાકામના કેદી તરીકે સુરેન્દ્રનગરની જેલમાં રાખવામાં આવ્યા હતા.તેમની સાથે તેમના બે દિકરાઓ અને ભત્રીજા પણ જેલમાં હતા. જેમાં નાના દિકરો હાલ પેરોલ ઉપર હતો.72 વર્ષના ખીમાભાઇને બે વર્ષ પહેલા એટેક આવી ગયો હતો.અને તેમની સારવાર પણ ચાલતી હતી. ત્યારે ગુરૂવારને રાત્રે જેલમાં ખીમાભાઇની અચાનક તબીયત લથડી હતી અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેમને સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જયા તેમનું મોત થયુ હતુ. આ બનાવમાં મોતનું સાચુ કરણ જાણવા માટે મૃતદેહને રાજકોટ પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો.આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. જેલમાં 125ની ક્ષમતા સામે 288 કેદીસુરેન્દ્રનગરની જેલમાં કુલ 125 કેદીને રાખવા માટેની ક્ષમતા ધરાવતા રૂમો છે.પરંતુ તેની સામે હાલ જેલમાં 288 કેદીને રાખવામાં આવ્યા છે.એક તરફ વર્તમાન સમયે પડતી કાળઝાળ ગરમી અને બીજી બાજુ 163 એટલે કે ડબલ કરતા વધુ વધુ કેદી રાખવામાં આવ્યા છે ત્યારે ગરમીમાં કેદીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. રાત્રે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી: ધર્મેન્દ્રસિંહ પરમાર જેલર ખીમાભાઇ રબારી છેલ્લા 5 વર્ષથી કાચાકામના કેદી તરીકે આપણી જેલમાં હતા.તેમની તબીયત ખરાબ હોવાને કારણે તેમને ખુલ્લી જગ્યામાં રાખવાની પણ વ્યવસ્થા કરી હતી.ગુરૂવારની રાત્રે તેમણે છાતીમાં દુ:ખાવાનું કહયુ હતુ.આથી તેમને બામ લગાવીને સારવાર આપી હોસ્પિટલ લઇ ગયા હતા.જયા તેમને એટેક આવી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:07 am

PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં PGVCL દ્વારા 2 દિવસમાં 15.72‎લાખના બાકીદારોના 170 વીજ જોડાણ કપાયા‎

અધિક્ષક ઇજનેર, સુરેન્દ્રનગર એન. એન. અમીનની રાહબરી હેઠળ પીજીવીસીએલની તા. 12 અને 13 ફેબ્રુઆરી એમ બે દિવસ જિલ્લાના વિસ્તારોમાં વીજ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. જે માટે એસઆરપીના જવાનો તથા પોલીસ સ્ટાફ દ્વારા પ્રોટેકશન આપવામાં આવેલા હતા. તેમજ વીડીયોગ્રાફરો મુકાયા હતા. પીજીવીસીએલ, સુરેન્દ્રનગર તરફથી મળતી માહિતી અનુસારવીજ ચેકીંગની કામગીરી દરમિયાન કુલ 491 ટીમોએ કાર્યવાહી કરી હતી. જેમાં બે દિવસમાં 15.72 લાખની બાકી રકમના 170 વીજકનેકશનો કાપી નાંખવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી હતી. આ ઉપરાંત બે દિવસમા 7704 ગ્રાહકો પાસેથી રૂ. 323.77 લાખની વસૂલાત પણ કરાઈ હતી. આ અંગે પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એન.એન.અમીને જણાવ્યું કે જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાખવામાં આવશે. વીજ વિક્ષેપથી બચવા અને કનેક્શન કપાવાની અગવડતા નિવારવા અને પુનઃ જોડાણ માટે વધારાનો ચાર્જ ભરપાઈ ન કરવો પડે તે માટે વહેલી તકે પોતાના બાકી લેણાં ઓનલાઈન અથવા નજીકની પેટા વિભાગીય કચેરીએ જઈને ભરી દે.તેમ ખાસ જણાવવામાં આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:02 am

સ્થાનિકોમાં ભયનું વાતાવરણ:રાજુલાના કોવાયામાં 11 સાવજોની ટોળાની લટાર : કોસ્ટલ વિસ્તારમાં સિંહોની હાજરીથી સ્થાનિકોમાં ભય

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક રાત્રિના સમયે એકસાથે 11 સિંહનું ટોળું રોડ પર લટાર મારતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા અને હાલમાં તેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનું ખાસ પ્રભુત્વ જોવા મળે છે. આ વિસ્તારમાં અવારનવાર સિંહો હાઇવે ઉપર આવી જતા હોય છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. જેથી સ્થાનિક લોકો દ્વારા વનવિભાગ પાસે વારંવાર પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. જાણે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું હોવાના લોકો આરોપ મુકી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સાવરકુંડલા - રાજુલામાં લોકોએ એજન્સી બહાર સવારથી લાઈન લગાવી છતા સિલિન્ડર ન મળ્યા

સમગ્ર અમરેલી જિલ્લામાં ઘરેલું રાંધણ ગેસ માટે લોકોએ પડા પડી કરી મુકી છે. સાવરકુંડલામાં જુદી જુદી બે ગેસ એજન્સી આવેલી છે. આ બંને ગેસ એજન્સી પર આજે સવારથી જ ગ્રાહકોએ સીલીન્ડર મેળવવા માટે પડાપડી કરી મુકી હતી. જાણવા મળતી વિગત અનુસાર બંને ગેસ એજન્સીમાં પુરતા પ્રમાણમાં સીલીન્ડરનો સ્ટોક પડ્યો હતો. પરંતુ ગ્રાહકોનો એટલો ધસારો હતો કે આખો દિવસ લાઈન રહી હતી અને ત્યારબાદ પણ અનેક ગ્રાહકો સીલીન્ડરથી વંચીત રહી ગયા હતા. સાવરકુંડલામાં મોડી સાંજ સુધી પણ વિતરણ શરૂ રખાયું હતું અને આવતીકાલે સીલીન્ડરની એક ગાડી આવનાર હોવાનું પણ જાણવા મળ્યું હતું. અહીં દરેક ગ્રાહકને સીલીન્ડર મળી રહ્યા હોવા છતાં સાંજ સુધી લાઈન હટી ન હતી. દરમિયાન સાવરકુંડલામાં ગેસ એજન્સીના સંચાલકો દ્વારા હોમ ડીલેવરી બંધ કરી દેવામાં આવી છે. જેથી લોકોને ફરજીયાત ગેસ એજન્સી પર જ સીલીન્ડર લેવા આવવું પડે છે. આવી જ સ્થિતિ આજે રાજુલામાં પણ જોવા મળી હતી. અહીં સવારથી જ ગ્રાહકોએ સીલીન્ડર મેળવવા માટે લાંબી કતાર લગાવી દીધી હતી. ગેસ એજન્સીના સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે પુરતા પ્રમાણમાં અને નિયમીત ડીલેવરી ચાલુ છે. છતાં લોકોએ ધસારો ઓછો કર્યો ન હતો. સર્વર ધીમું ચાલતું હોવાથી લોકોને ઓટીપી પણ મળતો ન હોય હાડમારી વેઠવી પડી હતી. રાંધણ ગેસનો ગેર ઉપયોગ અટકાવવા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા જરૂરીઅમરેલી શહેરમાં અનેક રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્ટોલમાં હજુ પણ રાંધણ ગેસના સીલીન્ડરનો ગેર ઉપયોગ થતો જોઈ શકાય છે. બલકે કોમર્શિયલ સીલીન્ડર બંધ થયા બાદ આ ગેર ઉપયોગ વધ્યો છે. ત્યારે તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાઈ તે જરૂરી છે. 200 વધુ આપવાથી મળે છે સીલીન્ડરઅમરેલીમાં અગાઉ ગ્રાહકોને વધારાની રકમ ચુકવવાથી સીલીન્ડર નોંધણી વગર મળી જતા હતા. હજુ પણ રૂપિયા 150 થી 200ની રકમ વધુ ચુકવવાથી સીલીન્ડર મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ફરિયાદ:ખોટું સોગંદનામું આપી કોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો

સાવરકુંડલા કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરી કોર્ટને ભ્રમિત કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ કાલે બપોરે સાવરકુંડલા કોર્ટ ખાતે સાવરકુંડલા તાલુકાના જૂનાસાવર ગામના નારણભાઈ દાનાભાઈ બગડા ફોજદારી કેસમાં જામીનદાર બનવા માટે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની રજીસ્ટ્રાર ઓફિસમાં હાજર રહ્યા હતા. જામીનદાર તરીકે જરૂરી દસ્તાવેજો સાથે તેમણે સોગંદનામું, જામીનખત તથા આધાર પુરાવા રજુ કર્યા હતા. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ અગાઉ ફોજદારી કેસના કોઈના જામીનદાર થઈ ચૂક્યા હતા. તેમ છતાં સોગંદનામામાં છેલ્લા છ મહિનામાં કોઈના જામીન થયા છે કે નહીં તે અંગે ન લખી ખોટી માહિતી આપી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે મુકેશભાઈ નાનજીભાઈ મકવાણા (ઉ.વ.54) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા કોર્ટને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

વ્યવસ્થા:યાર્ડમાં 12 કલાક સુધી વારાની રાહ જોતા ખેડૂતો માટે વાહનના સ્થળે જ ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ

યાર્ડની ક્ષમતા આશરે 700 વાહનોની હોવા છતાં આવકનો પ્રવાહ એટલો વધારે છે કે યાર્ડ બહાર અંદાજે પાંચ કિલોમીટર સુધી ટ્રેક્ટર-ટ્રોલી અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી જાય છે. ખેડૂતોને ફૂડ પેકેટ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલી માર્કેટ યાર્ડમાં ધાણીની પુષ્કળ આવક થવાના કારણે ખેડૂતોના વાહનોની 5 કી.મી. લાંબી કતારો રોડ ઉપર જોવા મળે છે, પરિણામે ઘણા ખેડૂતોને પોતાના પાકનું વજન કરાવવા માટે 10 થી 12 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. ખેડૂતોને આવી પરિસ્થિતિમાં મુશ્કેલી વેઠવી ન પડે તે માટે યાર્ડ બહાર લાંબી લાઈનમાં રાહ જોતા ખેડૂતોને તેમના વાહન પાસે જ પૌષ્ટિક અલ્પાહારના ફુડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેઓને લાઈન છોડવી ન પડે, સાથે જ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના વાહન જ્યાં ઉભા હોય ત્યાં જ ઠંડુ અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. યાર્ડમાં નવા બનેલા વિશાળ શેડમાં 500થી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવામાં સરળતા મળી રહે. ધાણાની ભારે આવક વચ્ચે ખેડૂતોને સહેલાઈ અને સગવડતા મળે તે માટે કરવામાં આવેલી આ વ્યવસ્થાઓને ખેડૂતો દ્વારા એક સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ફરિયાદ:અમરેલીમાં સામાન્ય બોલાચાલીમાં બે પક્ષ વચ્ચે મારામારીમાં ચારને ઇજા

અમરેલી ગજેરપરામાં રહેતા ઉમાબેન રાજુભાઈ વશરામભાઈ ચૌહાણ (ઉ.વ.58)ની દીકરી ગઈ કાલે 11 વાગ્યે રાજેશ ભાનુભાઈ વાઘેલાના ઘરે સામાન લેવા ગઈ હતી, પરંતુ તેઓએ સામાન આપવાનો ઇન્કાર કરી તેમની સાથે માથાકૂટ કરી હતી.બાદમાં ઉમાબેન સાંજે વાલ્મીકી વાસ વિસ્તારમાં દૂધના પૈસા આપવા ગયા હતા. તે સમયે ત્યાં હાજર રાજેશ વાઘેલાએ અન્ય સાથી સાથે મળી વાળ ખેંચી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં ઉમાબેન તેમની દીકરી સાથે ઓટો રિક્ષામાં બહારપરા પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા જતા હતા ત્યારે બહારપરા ફુલારા ચોક પાસે ફરી એકવાર ઝઘડો થતા બે મહિલાઓ દ્વારા ઉષાબેનની બીજી દીકરી જ્યોતિબેનને મારમારી બાળકને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાજેશ ભાનુભાઇ વાઘેલા, રાજુ બચુભાઇ વેગડ, કલ્પનાબેન રવિભાઇ પરમાર, કીરણબેન રાજુભાઇ વેગડ અને જીનુંબેન ડાયાભાઇ વાઘેલા મળી કુલ પાંચ લોકો પર ગુન્હો નોંધાયો છે તો સામે પક્ષે ભાનુબેન પુંજાભાઈ વાઘેલાએ પણ ઉષાબેન તેમના દીકરા સાથે ઘરે આવી મારમારી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવ્યું છે. જે અંગે બહારપરા પોલીસે બને પક્ષેથી કુલ 6 લોકો ઉપર ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

કાર્યવાહી:વન વિભાગે વન્યપ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થા સાથે ઝડપેલા ચાર આરોપીને જેલહવાલે કર્યા

પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડમાંથી વન વિભાગની ટીમે 4 જેટલા પરપ્રાતિય શખ્સો વન્ય પ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થાનું વેચાણ કરતા હોવાની બાતમીને લઈને મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારે આ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા હતા તો આરોપી પાસે મળેલ શંકાસ્પદ વન્ય પ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થાને ગાંધીનગર લેબમાં પરીક્ષણ માટે મોકલાયા છે. પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડમાં જાહેરમાં વન્ય પ્રાણીઓ અવશેષોનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી હતી.પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડમાં 4 જેટલા શખ્સો વન્યપ્રાણીઓ અવશેષોનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે પોરબંદર વન વિભાગની ટીમે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમ્યાન આ સખ્સો પાસેથી વાઘ અને સિંહના શંકાસ્પદ નખો તેમજ કસ્તુરી મૃગનો જથ્થો પણ મળી આવ્યો હતો.વન વિભાગની ટીમેં આ શખ્સોની અટકાયત કરી ઝડપી લીધા હતા ત્યારે વન વિભાગે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ તમામ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા હતાં.તો વન વિભાગે આરોપી પાસે મળેલ શંકાસ્પદ વન્યપ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થાને ગાંધીનગર લેબમાં પરીક્ષણ માટે મોકલાયા છે. 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પોરબંદરની ચોપાટી ખાતે વન્યપ્રાણીઓના નખ સહિતના મુદામાલ સાથે ઝડપેલા 4 આરોપીને વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ નામજૂર કરી જેલહવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

આયાત નિકાસને ભારે અસર:અમેરિકા -ઇરાન યુદ્ધને લઈને પોરબંદરના વેપારીઓનું રૂ.60 કરોડનું સીફૂડ અટવાયું

ખાડી દેશમાં યુદ્ધને લઈને ઈરાન દ્વારા હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને આયાત નિકાસને ભારે અસર પહોંચી છે. પોરબંદરના વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલ 60 જેટલા સી ફૂડના કન્ટેનરો હાલ અટવાયા છે જેને લઈને આ કન્ટેનરોમાં રહેલ અંદાજે રૂ.60 કરોડનું 1 હજાર મેટ્રીક ટન સિફૂડનું પેમેન્ટ 1 માસને બદલે હવે વેપારીઓને 2 માસે મળશે.વેપારીઓને સી ફૂડનું પેમેન્ટ 1 માસ લેટ મળવાથી આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. છેલ્લા 14 દિવસથી ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તો આ યુદ્ધની સ્થિતિને લઈને ફૂડઓઈલ અને ગેસની અછત સર્જાઇ છે તો ઈરાન દ્વારા તેમના હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ પર અવાર જવર કરવા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે જેને લઈને આયાત નિકાસના વ્યવસાયમાં પણ અસર જોવા મળી છે. પોરબંદરમાંથી મોટી માત્રામાં થતી સિફૂડની નિકાસ પણ આ જ સમુદ્રી માર્ગ પરથી વિવિધ દેશોમાં પહોંચે છે ત્યારે હાલ હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ બંધ થતાં જ પોરબંદરના 50 થી 60 ભરેલ કન્ટેનરો મુદ્રા પોર્ટ તેમજ શારજા,કોલંબો સહિતના પોર્ટ પર અટકયા છે.હાલ હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ પર અવાર જવર કરવા પ્રતિબંધ મુકી દેવામાં આવતા આ તમામ સિફૂડ યુરોપ,અમેરિકા સહિતના દેશમાં પહોંચાડવા માટે શારજા અને આફ્રિકા રૂટ પર મોકલવામાં આવી રહ્યા છે જેને લઈને સમુદ્રી માર્ગ લાંબો થઈ જતા પરિવહન પેમેન્ટ મેથળ પણ બદલાઈ છે અગાઉ વિદેશમાં મોકલવામાં આવતું સિફૂડનું પેમેન્ટ 1 માસમાં મળી જતું હતું ત્યારે હવે વેપારીઓને સિફૂડનું પેમેન્ટ 2 માસે મળી રહ્યું છે જેને લઈને વેપારીઓની પણ આર્થિક સ્થિતિ કફોડી બની છે. હજારો પરિવારને આર્થિક ફટકો હાલ વિદેશોમાંથી આવતા નવા સી ફૂડના ઓર્ડર બંધ થઈ ગયા છે તો વેપારીઓ દ્વારા વિદેશમાં મોકલવામાં આવશે સિફૂડનું પેમેન્ટ પણ લેટ થશે જેથી વિદેશમાં મોકલતા વેપારીઓ નવો માલ લેવા પેમેન્ટની અછત ઉભી થતા જ લોકલ માર્કેટમાં પણ આર્થિક સ્થિતિ બદલાશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:ઘરેલુ બાટલાનો ખુલ્લેઆમ કોમર્શિયલ વપરાશ, બાટલાનું મેન્યૂઅલી બૂકીંગ નહીં અને સર્વર બંધ !

અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધના કારણે પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાની કટોકટી સર્જાણી છે. કોમર્શિયલ બાટલાનો સપ્લાઈ બંધ થયો છે ત્યારે ઘરેલુ બાટલાનો ખુલ્લેઆમ કોમર્શિયલ વપરાશ શરૂ થઈ ગયો છે, છતાં પુરવઠા તંત્ર કોઈ જાતનું ચેકીંગ કરી રહ્યું નથી. બીજી તરફ ઘરેલુ બાટલા લખાવવાના ઓનલાઇન નમ્બર બંધ, ગેસ એજન્સી મેન્યુલી બુકીંગ કરતી નથી, અને વહીવટી તંત્ર બાટલા હોવાના પોકળ દાવા કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુધ્ધની અસર પોરબંદરમાં પડી છે. કોમર્શિયલ ગેસની કટોકટી સર્જાણી છે જેમાં છેલ્લા 6 દિવસથી ગેસ એજન્સી ખાતે કોમર્શિયલ ગેસના બાટલા ખાલી થયા છે અને ખાનગી કંપનીના ગેસ એજન્સી ખાતે પણ કોમર્શિયલ ગેસના બાટલા નથી. પોરબંદરની રેસ્ટોરન્ટો ખાતે પણ હવે કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક ખાલી થવા જઈ રહ્યો છે અને ખાણીપીણીના લારી ગલ્લાઓ પાસે કોમર્શિયલ ગેસના બાટલા પુરા થતા હવે મોટાભાગના ખાણીપીણીના ધંધાર્થીઓ કોમર્શિયલ ગેસના બાટલાની બદલે ઘરેલું ગેસના બાટલાનો વપરાશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખાણીપીણીના ધંધાર્થીઓ નિયમ મુજબ ઘરેલું ગેસના બાટલાનો વપરાશ કરી શકે નહીં, આમછતાં નિયમનું ઉલ્લંઘન કરી મોટાભાગના ખાણીપીણીના ધંધાર્થીઓ ઘરેલું ગેસના બાટલાનો વપરાશ કરતા હોવાનું નજરે ચડે છે.કોમર્શિયલ ગેસના બાટલાને સ્થાને પોરબંદરમાં ઘરેલું ગેસના બાટલાએ લીધું છે અને ઘરેલું ગેસના બાટલાનો દુરુપયોગ કોમર્શિયલ બાટલામાં થવા લાગતા ઘરેલું બાટલાની તંગી સર્જાણી છે, છતાં પુરવઠા તંત્રએ એક પણ સ્થળે ચેકીંગ કર્યું નથી. બીજી તરફ લોકો ઘરેલુ ગેસના બાટલાના બુકિંગ માટે પોતાના મોબાઈલ માંથી આપવામાં આવેલા સર્વરના મોબાઇલ નંબર પર ફોન કરી રહ્યા છે જે ફોન લાગી રહ્યા નથી અને આ બાબતે જેતે ગેસ એજન્સીમાં પૂછતા કરતા જવાબ આપવામાં આવે છે કે સર્વર બંધ છે બે ત્રણ દિવસ પછી શરૂ થઈ જશે અમને ઉપરથી મેન્યુઅલી બુકિંગ કરવાની સત્તા આપવામાં આવી નથી જેથી સર્વર ચાલુ થાય તેની રાહ જોવી પડશે અને પછી જ ગેસના બાટલાનું બુકિંગ થશે. આ પરિસ્થિતિને આવા જવાબો વચ્ચે લોકો ઘરેલુ બાટલા મેળવવા માટે તરફ પડી રહ્યા છે જ્યારે બીજી તરફ વહીવટી તંત્ર જિલ્લામાં ઘરેલુ બાટલાનો પૂરતો સ્ટોક હોવાના દાવા કરી રહ્યું છે અને પત્રકાર પરિષદ યોજી ગેસના બાટલાનો પૂરો સ્ટોક હોવાના પોકળ દાવા કરી રહ્યું છે. એલ.પી.જી.નથી પરંતુ સી.એન.જી છેપોરબંદર જિલ્લામાં હાલ એલ.પી.જી ગેસની અછત જોવા મળી રહી છે ત્યારે એલ.સી.જી.ગેસ મેળવવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે તો જિલ્લામાં સી.એન.જી ગેસ પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ છે અને સી.એન.જી ગેસના પંપ ખાતે વાહનોની લાઇન પણ ઉપલબ્ધ નથી. દરોડા પાડવામાં આવશે : મામલતદારખાણીપીણીના ધંધાર્થીઓ કોમર્શિયલ ગેસના બાટલાનો જ વપરાશ કરી શકે, ઘરેલું ગેસના બાટલાનો વપરાશ કરી શકે નહીં. અગાઉ ચેકીંગ કર્યું હતું અને કોમર્શિયલ ગેસના બાટલા જ વપરાશમાં લેવા સખત સૂચના સાથે કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં પણ ખાસ ચેકીંગ કરવામાં આવશે અને ખાણીપીણીના ધંધાર્થીઓ જો કોમર્શિયલ ગેસના બાટલાનો ઉપયોગ કરતા હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. > બી.વી. સંચાણીયા, સિટી મામલતદાર, પોરબંદર

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

વાતાવરણ:મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 35 ડિગ્રીએ પહોંચ્યું

જામનગરમાં છેલ્લા બે દિવસથી સુર્યદેવતાના આકરા તાપ બાદ શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 35 ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં માર્ચ માસના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગત્ બુધવાર અને ગુરુવારે મહત્તમ તાપમાન સિઝનમાં પ્રથમ વખત 37 ડીગ્રીએ પહોંચી ગયું હતું. તાપમાન વધુ રહેતા લોકો ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. ખાસ કરીને બપોરે આકરા તાપથી નગરજનો આકૂળ-વ્યાકૂળ થઈ ગયા હતાં. ગરમી સામે રક્ષણ મળે તે માટે લોકોએ પંખા-એસી તથા ઠંડા-પીણાનો સહારો લીધો હતો અને બપોરે કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી સુધી ગગડીને 35 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. તો લઘુતમ તાપમાનમાં આંશિક વધારા સાથે 22 ડિગ્રીએ પહોંચ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીવત ઘટીને 77 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકના સરેરાશ 10 થી 15 કિ.મી.ની રહેવા પામી હતી. તો બીજી બાજુ મધ્યરાત્રિના પણ ઠંડીમાં ઘટાડો જોવા મળતા રોગચાળામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો બીજી બાજુ મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે. હાલ સુર્યદેવતાના આકરા તાપથી લોકો પરસેવે રેબઝેબ થયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

આરોગ્ય સેવા:જામનગરમાં ધન્વંતરી આરોગ્ય રથમાં લેબોરેટરી ટેસ્ટ તેમજ દવાઓ સહિતની સુવિધા પુરી પાડશે

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતર્ગત ધન્વન્તરી આરોગ્ય રથને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સુવિધા સભર આરોગ્ય રથ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા મેડીકલ સ્ટાફ પાસેથી દવાઓનો સ્ટોક, વાહનનો રૂટ વગેરે અંગે માહિતી મેળવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમના ગામડાં નજીક જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ધન્વન્તરી આરોગ્ય રથના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી, દવાઓ તથા જરૂરી માર્ગદર્શન મળી રહે તે પ્રકારે આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા લગત અધિકારીઓ અને સ્ટાફને સૂચનો કર્યા હતા. આ રથમાં તબીબ અને આરોગ્ય કર્મચારીઓની 5 લોકોની ટીમ સાથે જરૂરી દવાઓ, તબીબી સાધનો અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ છે. રથ ગામે ગામ જઈને નાગરિકોની આરોગ્ય તપાસ કરશે અને જરૂર હોય તેવા દર્દીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે. 4 આરોગ્ય રથ કાર્યરત ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા બ્લડ પ્રેશર, મલેરિયા ટેસ્ટ, ડાયાબિટીસ, સામાન્ય ચકાસણી, સેનેટરી પેડ્સનું વિતરણ, માતા-બાળ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન તથા વિવિધ રોગો અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ ચાર ધન્વન્તરી આરોગ્ય રથ કાર્યરત છે. જેના માધ્યમથી શહેર અને જિલ્લામાં સોમવારથી શનિવાર સુધી શ્રમિક વસાહતોમાં વિનામૂલ્યે લોકોને આરોગ્ય સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

કામગીરી:જામનગરની ભાગોળે રેસ્ટોરન્ટ હોટલો સહિતમાં પોલીસનું ચેકીંગ

જામનગર શહેરના ભાગોળે આવેલી હોટલો, રેસ્ટોરન્ટો સહિતના સ્થળોએ એએસપીની આગેવાનીમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા ગુનાહિત પ્રવૃતિઓ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો અમુક ગુનાહિત પ્રવૃતિઓ કરનારાઓની ઘરોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. શહેરના ભાગોળે ખંભાળીયા રોડ, રણજીતસાગર રોડ, તેમજ કાલાવડ અને રાજકોટ હાઈવે ઉપર એનક હોટલો, રેસ્ટોરન્ટો તેમજ પાર્ટી પ્લોટ મોટી સંખ્યામાં આવેલા છે. જેથી તેમાં કોઈ ગુનાહિત પ્રવૃતિઓ આચનાર કે અન્ય કોઈ ગેરકાનુનુી પ્રવૃતિઓ કરનારાઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એએસપી પ્રતિભા ગોદરા તેમજ પંચકોશી બી ડિવિઝનના પીઆઈ વી.જે.રાઠોડ, પંચકોશી એ ડિવિ.ના એમ.કે.બ્લોચ, તેમજ સિક્કા પોલીસ સ્ટેશનના જે.જે.ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ સાથેની ટીમોએ ચેકીંગ હાથ ધરતા ભારે અફડા-તફડી મચી ગઈ હતી. તો પોલીસે ગ્રામ્ય પંથકમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શખસોના ઘરોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ફરિયાદ:જામનગરમાં છાત્રાલયમાં 2 છાત્રો વચ્ચે ડખ્ખો, માથામાં હથોડી મારી

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી દાસારામ હોસ્ટેલમાં રહેતા પોલીટેકનિક કોલેજના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકૂટમાં એક વિદ્યાર્થીએ હથોડી જેવું હથિયાર માથામાં ફટકારાતા ઘાયલ થયેલા ખંભાળિયાના વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે સહવિદ્યાર્થી સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે વાડી વિસ્તારમાં રહેતાં કમલેશભાઇ ભોલુભાઇ ચાવડા (ઉ.વ.42) નામના ખેડૂત યુવાને દ્વારકા જિલ્લાના જ ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે રહેતાં એક વિદ્યાર્થી સામે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદી કમલેશભાઇ ચાવડાનો પુત્ર મયુર અને આરોપી સહવિદ્યાર્થી બન્ને જામનગર શહેરમાં બેડેશ્વર પુલ પાસે આવેલ દાસારામ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. દરમિયાન ગત્‌‍ તા.11ના રોજ મયુર અને આરોપી વચ્ચે કોઇપણ કારણોસર બોલાચાલી થઇ હતી. જે બાબતે આરોપીએ મયુરની માફી માંગ્યા બાદ રાત્રીના ઉશ્કેરાયો હતો અને મારી પાસે માફી કેમ મંગાવી..? તેમ કહી પોતાના એન્જીનિયરીંગના અભ્યાસ અર્થે ઉપયોગમાં આવતી હથોડી જેવું હથિયાર કાઢી મયુરને માથામાં ફટકાર્યું હતું. જેથી લોહીલુહાણ હાલતમાં મયુરને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિદ્યાર્થી સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

બેઠક:શહેરમાં સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રભારીની નવનિયુક્ત હોદેદારો સાથે બેઠકોનો દૌર શરૂ

જામનગર શહેરના ભાજપના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય સંગઠનાત્મક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવનિયુક્ત હોદ્દેદારોને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાનું ભાથું પૂરું પાડવા માટે આ બેઠકો અત્યંત મહત્વની સાબિત થઈ છે. જેમાં પ્રથમ દિવસે સંગઠન અને મોરચાના હોદ્દેદારો સાથે સંવાદ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે બેઠકોનો પ્રારંભ થયો હતો. જેમાં શહેર સંગઠનના સર્વપ્રથમ શહેર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને સંગઠનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ શહેર મોરચાના પ્રમુખઓ, મહામંત્રીઓ અને વોર્ડ પ્રભારીઓ સાથે ચૂંટણીલક્ષી પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક વોર્ડની ભૌગોલિક અને રાજકીય સ્થિતિની બારીક માહિતી પ્રભારી દ્વારા મેળવવામાં આવી હતી. બીજા દિવસે પ્રભારીશ્રીએ પાયાના સ્તરના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો, કોર્પોરેટરઓ, શિક્ષણ સમિતિના સભ્યો, વોર્ડ પ્રમુખઓ અને મહામંત્રીઓ સાથે બેઠક યોજી તેમને જનસંપર્ક તેજ કરવા સૂચના આપી હતી. પૂર્વ શહેર અધ્યક્ષઓ અને પૂર્વ મેયરઓ સહિતના વરિષ્ઠ કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લઈ સંગઠનમાં એકસૂત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો. આ બે દિવસીય પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય નવનિયુક્ત હોદ્દેદારોને સંગઠનની કાર્યપદ્ધતિથી માહિતગાર કરવાનો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે માઈક્રો પ્લાનિંગ તૈયાર કરવાનો હતો. આ તકે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે સહિતના શહેર અને વોર્ડ સ્તરના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

હાલાકી:જામનગર શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડરોના કાળા બજાર : 925નો બાટલો રૂા.3000ને આંબી ગયો

કોર્મશિયલ ગેસના બાંટલાઓ બંધ કરવામાં આવતા જામનગરમાં ગેસના બાટલાઓની કાળી બજાર શરૂ થઈ ગઈ છે અને ગેસના બાટલાના ત્રણ ગણો ભાવ થઈ ગયો છે. તો ઓનલાઈન બુકીંગ સેવાઓ ઠપ્પ થતાં લોકોની ગેસ એજન્સીઓમાં કતારો લાગી ગઈ છે. તો તંત્રએ 7 ટીમો બનાવીને તાલુકા અને જિલ્લા મથકે ગેસ ગોડાઉનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગેસના બાટલાઓનો જથ્થો પુરતો હોવાનું જણાવ્યું છે. જામનગર સહિત દેશભરમાં કોર્મોશિયલ રાંધણ ગેસના બાટલાઓ બંધ કરવામાં આવ્યા છે, જેથી ઘરેલુ ગેસ મેળવવા માટે લોકોએ ઓનલાઈન બુકીંગ કરવા જતાં ફોન આપમેળ કટ થઈ જતાં અને ઓનલાઈન ગેસના બાટલાઓ બુક ન થતાં લોકોમાં ભારે અફડા-તફડી મચી જવા પામી હતી. જેથી લોકોએ ગેસ એજન્સીઓએ ગેસ બુકીંગ માટે કતારો લગાવી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી ગેસ એજન્સીઓ ખાતે લોકોની કતારો જોવા મળી રહી છે. તો બીજી બાજુ કોર્મશિયલ ગેસના બાટલાઓ બંધ થઈ જતાં કાળી બજાર ચાલુ થઈ ગઈ છે. રૂ.930નો મળતો ગેસના બાટલાના રૂ.3 હજાર થઈ ગયા છે. જેથી ખાણી-પીણીના રેંકડીવાળા તેમજ ચાની હોટલ સહિતના નાના ધંધાર્થીઓ ખરીદ કરી રહ્યા છે. ગેસના બાટલના કાળા બજારમાં ત્રણ ગણા ભાવ વધારાથી લોકોમાં ગેસ બુકીંગ માટે વધુ ભીડ જોવા મળી રહી છે. જામનગર અન્ન અને નાગરિક પુરવઠા તંત્ર દ્વારા જુદી જુદી 7 ટીમો બનાવવામાં આવી છે. જેમાં જિલ્લાના ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, જામનગર અને લાલપુર તાલુકા મથકોએ મામલતદારની આગેવાનીમાં બનાવેલી ટીમો ગેસ એજન્સીઓના ગોડાઉનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પુરવઠાના અધિકારીની આગેવાનીમાં પણ એક ટીમ બનાવીને શહેરમાં તમામ ગેસ એજન્સીઓના ગોડાઉનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં રાંધણગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ : કલેકટરજામનગર જિલ્લામાં રાંધણગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. ખોટી અફવાઓથી દુર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ પુરવઠાનું સંતુલન જાળવવા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય કરાયો છે. > કલેકટર કેતન ઠક્કર હેલ્થ અને શિક્ષણને લગત ગેસના બાટલા અપાય છેકોર્મોશિયલ ગેસના બાટલાઓ બંધ થતા જામનગરમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. ત્યારે તંત્રએ જાહેર કર્યુ હતું કે, હેલ્થને લગતા તેમજ શિક્ષણને રીલેટેડ હોય તેવા વિભાગને ગેસના બાટલાઓ આપવામાં આવતા હોવાનું તંત્રએ જાહેર કર્યુ છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

આત્મહત્યા:એકલવાયા જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામમાં એકલવાયુ જીવન જીવતા 70 વર્ષના વૃદ્વાએ એકલપણાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા પુરીબેન બચુભાઈ સાવલીયા (ઉ.વ.70) નામના વયોવૃધ્ધ હોય અને છેલ્લા બે-ત્રણ માસથી ગામડે એકલા રહેતા હોય, અને એકલપણાથી કંટાળી ગયા હતા. ગત તા.12ના વાડીએ ગયા હતા. જ્યાં વૃદ્ધાએ ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની લાંબી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની સુમીતાબેન દિલીપભાઈ સવાલીયાએ પોલીસમાં જાહેર કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ.પરમારે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

કાર્યવાહી:વારંવાર ગુન્હા કરતો માથાભારે શખ્સ પાસાના પાંજરે પુરાયો

ફટાણા ગામે વારંવાર ગુન્હા કરતો માથાભારે શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી પાસા દરખાસ્ત મંજૂર થતા આ શખ્સને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી પાસા હેઠળ સુરત જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ મથકે નોંધાયેલ ધ ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ મુજબના તથા ધાક ધમકી આપી ખંડણીના ગુન્હામાં સંડોવાયેલ ફટાણા ગામનો આરોપી મહેશ ઉર્ફે ભદો રામા બથવાર વિરૂધ્ધમાં પીએસઆઈ આર.જી.ચુડાસમાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઈ આર.કે. કાંબરીયાએ શખ્સને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે. આરોપી સામે 21 ગુન્હા નોંધાયા છે પોરબંદરના ફટાણા ગામે રહેતો આરોપી મહેશ રામા બથવાર વિરુધ્ધ અગાઉ 21 જેટલા ગુન્હા નોંધાયેલ છે જેમાં આરોપી વિરુધ્ધ ખંડણી અને ધાક ધમકીના ગુન્હા નોંધાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

રજૂઆત:વૈકલ્પિક રસ્તો બનાવવા મનપાએ રેલવે તંત્રને પત્ર લખ્યો

પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટકનો પ્રશ્ન ફરી ઉકળતો ચરૂ બન્યો છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા ઉદ્યોગનગર ફાટક પાસે બોર્ડ મારી સૂચના આપી છે કે તા. 31/5/2026ના રોજ રાત્રિના 12 વાગ્યાથી આ ફાટક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડને જોઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરસંગ ટેકરી થી રોકડિયા હનુમાન આવતી અને જતી વખતે વચ્ચે ઉદ્યોગનગર ફાટક આવે છે. આ ફાટક આસપાસ અનેક સોસાયટીઓ આવેલ છે અને અંદાજે 30 થી 35 હજાર સ્થાનિકો ઉપરાંત અન્ય લોકો આ ફાટક માંથી પસાર થાય છે. ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ અને આંદોલન કર્યા હતા જેને પગલે ફાટક ખોલવામાં આવ્યું હતું પરંતુ હવે ફરીથી ફાટક બંધ થવાનું બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિકોનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. જોકે સ્થાનિકોના રોષને પગલે રેલવે તંત્ર દ્વારા બોર્ડ હટાવી લેવામાં આવ્યા છે. વૈકલ્પિક રસ્તો બિસ્માર હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા રેલવે તંત્રને તા.17/10/2025ના રોજ લેટર લખ્યો હતો જેમાં મનપા દ્વારા રોડનું સમારકામ અને ઢાળ રિપેર કરવાનો અને સીસીરોડ બનાવવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવશે અને 6 માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી આ ફાટક તા.31/5/2026 સુધી તાત્કાલિક ખોલી આપવામાં આવે તેવું લેટરમાં લખ્યું હતું. મહત્વની વાત એ છે કે મનપા દ્વારા બિસ્માર વૈકલ્પિક રસ્તાનું સમારકામ 5 માસ દરમ્યાન કરવામાં જ આવ્યું નથી. હવે મંજૂરી લેવામાં અને ટેન્ડર પ્રક્રિયા કરવા માંજ મનપાને 3 માસ જેટલો સમય લાગી શકે તેમ છે. તેવો અહેવાલ દિવ્યભાસ્કર પોરબંદરમાં પ્રસિધ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને જે માર્ગ છે તે પહોળો બનાવવા માટે મનપા તંત્ર દ્વારા રેલવે વિભાગને પત્ર લખ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ધરપકડ:ભડ ગામ જતા રસ્તે ફરસી અને પાઇપ સાથે 2 શખ્સ ઝડપાયા

પોરબંદરના ચિકાસા ગામથી ભડ ગામ તરફ જતા રસ્તે ફરસી અને લોખંડના પાઈપ સાથે 2 શખ્સને ઝડપી લઇ પોલીસે હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ભડ ગામે રહેતો હિતેશ ગીગા ભૂતિયા અને ભરત દેવશી ભૂતિયા નામના શખ્સ ચિકાસા ગામથી ભડ ગામ તરફ જતા રસ્તેથી પસાર થતા હતા ત્યારે નવીબંદર પોલીસને જોઈને શખ્સો આડા અવળા થતા. પોલીસે શંકાના આધારે તલાસી લેતા હિતેશના નેફા માંથી લોખંડની હાથાવાળી ફરસી મળી આવતા પોલીસે ફરસી કબ્જે કરી હતી જ્યારે ભરતના કબ્જા માંથી લોખંડનો પાઈપ જેની બંને છેડે કંપલીન ફિટ કરેલ હતી. પોલીસે લોખંડનો પાઈપ કબ્જે કરી બંને શખ્સ વિરુધ્ધ હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી નવીબંદર પોલીસ ચલાવી રહી છે. અત્રે નોંધનીય છેકે, પોરબંદર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પાડ્યું હોય અગાઉ પણ છરી સાથે શખ્સો ઝડપાયા હતા તેમજ પોલીસ ટીમ દ્વારા અટકાયત કરી ગુનો નોંધવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

કાર્યવાહી:2 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીની વલસાડથી અટકાયત

2 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીની જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વલસાડથી અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી.કે. ગઢવીને ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે, જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો આરોપી વિજય મોતીભાઈ નાયકા હાલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ગામે છુપાયેલો છે. આ બાતમી આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને તેના રહેઠાણ સ્થળેથી દબોચી લીધો હતો. ​​ઝડપાયેલ 46 વર્ષીય વિજય નાયકા ​જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2023નો પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો (જેમાં તે બે વર્ષથી ફરાર હતો). ​શીલ પોલીસ સ્ટેશન અને ​જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2025માં દારૂનો કેસ નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:પાક પર ખતરો; 4 દિ'' માવઠાની આગાહી, 19 અને 20મીએ તિવ્રતા વધુ‎

આકરા ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યા મુજબ 19 માર્ચથી આગામી ચાર દિવસ દરમિયાન માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.વધુમાં જણાવ્યા મુજબ હાલ વધતા તાપમાન વચ્ચે આ પરિવર્તનથી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. માવઠાના કારણે દિવસના તાપમાનમાં રાહત મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. માવઠાની સ્થિતિ સર્જાય તો કૃષિ ક્ષેત્રમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ઉનાળાની શરૂઆતમાં વધતા તાપમાન વચ્ચે વાતાવરણમાં આ પ્રકારનો ફેરફાર સામાન્ય રીતે વાદળછાયા માહોલ અને હળવા પવન સાથે જોવા મળે છે. આમ ઊનાળાની આકરી ગરમી વચ્ચે હવામાનમાં પલ્ટો આવશે. શિયાળુ સીઝન પૂર્ણ થયા બાદ ખેડૂતોએ ઉનાળુ પાકમાં મગ,તલ સહિતના પાકનું વાવેતર કર્યું છે જો કમોસમી વરસાદ પડે તો આ પાકને પણ વ્યાપક નુકસાન થઈ શકે છે.કારણ કે હજુ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તલ, મગ સહિતના ઉનાળુ પાકનુ મહદઅંશે વાવેતર થયુ છે અને અમુક જગ્યાએ પાક હજુ ઉગીને તૈયાર થઈ રહ્યો છે. મિશ્ર ઋતુથી રોગચાળો વકરી શકે છે : નિષ્ણાંતોઆ અંગે તબીબે જણાવ્યું હતું કે હાલ પણ બપોરના સમયે ગરમી અને સાંજે ઠંડી પડી રહી છે અને મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે મિશ્ર ઋતુને કારણે હાલ નાના બાળકોથી માંડી વયો વૃદ્ધ સુધીના લોકોમાં શરદી, ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં રોજની 200થી વધુ ઓપીડી નોંધાઇ રહી છે. જો વરસાદ પડે તો રોગચાળો પણ વકરી શકે છે જેથી લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

બોર્ડની પરીક્ષા:ભૂગોળના પેપરમાં 131 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢ સહિત રાજ્યભરમાં તારીખ 13 માર્ચના રોજ ધોરણ 10માં ગુજરાતી દ્વિતીય ભાષા અને ધોરણ 12માં ભુગોળનુ પેપર રહ્યુ હતુ. જેમાં જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10માં 1268 વિદ્યાર્થીઓમાંથી 1265 હાજર અને 3 ગેરહાજર રહેતા કુલ 99.76 ટકા અને ધોરણ 12માં 4937માંથી 4806 હાજર અને 131 ગેરહાજર રહેતા 97.35 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભૂગોળ અને ગુજરાતીનું પેપર એકંદરે સરળ અને પાઠ્યપુસ્તક આધારીત રહ્યુ હતુ. હજુ સુધી એકપણ કોપીકેસ નહીં બોર્ડ પરીક્ષા હવે પુર્ણતાના આરે છે. અત્યાર સુધીમાં લેવાયેલા પેપરમાંથી એક પણ પેપરમાં કોપીકેસ નોંધાયો નથી. શાંતિપૂર્ણ માહોલમાં તમામ પેપરો પૂર્ણ થયા છે એમ શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

RTOમાં સર્વર ઠપ:કાળઝાળ ગરમીમાં અરજદારો પરેશાન

પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ખાતે ગઈકાલે અચાનક સર્વર ઠપ થઈ જતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. ટેકનિકલ ખામીને કારણે ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન અને અન્ય કામગીરી અટકી પડી હતી. ​ઉનાળાની કાળઝાળ ગરમી અને બપોરના આકરા તાપમાં દૂર-દૂરથી આવેલા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. વારંવાર સર્જાતી આવી ટેકનિકલ સમસ્યાઓ સામે લોકોએ વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ફિયાસ્કો:ધણફુલીયામાં સેવાસેતુ, 11ને બદલે માત્ર 5 ગામને જાણ કરી

વંથલી વહીવટી તંત્ર દ્વારા લોકોને સરળ અને સુલભ રીતે વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ શકે તેને લઈ વંથલી તાલુકાના 11 ગામોના સેવાસેતું કાર્યક્રમનુ ધણફુલીયા ગામે આયોજન કરવામાં આવ્યું હતું પણ વહીવટી તંત્રમાં સંકલનના અભાવે આયોજનમાં અનેક ખામીઓ જોવા મળી હતી. સેવાસેતુંમાં નક્કી કરાયેલા 11 ગામોમાંથી 4 થી 5 ગામના સરપંચોને જાણ કરવામાં ન આવતા અનેક અરજદારો સેવાનો લાભ લેવાથી વંચિત રહ્યા હતા સેવાસેતુ આધારકાર્ડમાં ટેક્નિકલ.ક્ષતિને કારણે કામગીરી ન થતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સરકારી તંત્રના તાયફા સામે નારાજગી વ્યક્ત કરી હતી એક મહિલા છેલ્લા 4 માસથી પોતાની પુત્રીના આધારકાર્ડમાં ફિંગર ન આવતા હોવાથી અહીં ધક્કો ખાધો હતો પણ અહીં પણ કામગીરી ન થતા પોતાની પુત્રીની શિષ્યવૃતિની કામગીરી થતી નથી. તેમ જણાવ્યું હતું અનેક અરજદારો પોતાના આધારકાર્ડમાં સુધારા અંગે કોઈ કામગીરી ન થતા વીલા મોઢે પરત ફર્યા હતા બીજા વિભાગોમાં પણ અરજદારોની પાંખળી હાજરી જોવા મળી હતી આમ તંત્રના સંકલનના અભાવે લોકોની સેવા માટેનો કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

લોકોમાં આક્રોશ:નદીઓમાં સાડી ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત‎પાણી ઠાલવાયું, હવે આંદોલનના મંડાણ‎

ગુજરાતની ત્રણ નદીઓ નદીઓમાં વધતા પ્રદૂષણ સામે કોંગ્રેસ નેતા દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. કોયલી મઢ ખાતે મહાદેવના દર્શન કરીને કોંગ્રેસ નેતા કરસન બાપુ ભાદરકાએ આંદોલનનો પ્રારંભ કર્યો હતો.અને ઉબેણ નદીના પાણીનું નિરીક્ષણ કરી સરકાર તેમજ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે આકરા પ્રહારો કર્યા હતા. જેતપુર અને આસપાસના સાડી ઉદ્યોગોમાંથી નદીઓમાં છોડાતાકેમિકલયુક્ત લાલ પાણીથી નદીઓ પ્રદૂષિત થઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે કરસન બાપુ ભાદરકા દ્વારા વિરોધનો શંખનાદ કરવામાં આવ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. ખેડૂતો સાથે નદીના કિનારે પહોંચેલા ખેડૂતોએ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો અને સરકાર સામે આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. અને તાળા મારવાની ચેતવણી આપી હતી. નદીઓમાં છોડાતા કેમિકલયુક્ત પાણીથી ખેતી અને પર્યાવરણને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરવામાં કોંગ્રેસ નેતા કરસનબાપુ ભાદરકાએ ઉદ્યોગોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હવે માત્ર બે જ વિકલ્પો છે પ્રદૂષણ બંધ કરો અથવા ઉદ્યોગોને તાળા મારવા પડશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

આયોજન:કોડીનારના ડોળાસા ગામમાં સેવાસેતુ, આધારકાર્ડ માટે લોકોની લાંબી કતારો

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો અને આધાર કાર્ડ સુધારા માટે લાંબી કતાર લાગી હતી. કોડીનારનાં ડોળાસા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મામલતદાર કચેરી નો સ્ટાફ,તાલુકા પંચાયત નો સ્ટાફ,આરોગ્ય વિભાગનો સ્ટાફ ,સામાજિક વનીકરણ નો સ્ટાફ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહી લોકો ની રજૂઆતો નો ઉકેલ લાવવા પ્રયાસો કર્યા હતા. સમગ્ર સેવા સેતુ કાર્યક્રમ માં સૌથી વધુ ભીડ અધાર કાર્ડ સુધારણા માટે જોવા મળી હતી.અન્ય વિભાગ માં આરોગ્ય માટે લોકોએ તબીબી સ્ટાફની મુલાકાત લીધી હતી. આ સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે કે.ટી.સી બેંક ના ચેરમેન પ્રતાપસિંહ ડોડીયા, કોડીનાર તાલુકાના પંચાયત ના પ્રમુખ જીતુભાઈ પરમાર,ઉપ પ્રમુખ વિશાલભાઈ ગાધે,કોડીનાર બીજેપી પ્રમુખ જીતુભાઈ બારડ, જિલ્લા પંચાયત ના સદસ્ય અમુભાઈ વાજા,તાલુકા પંચાયત ના સદસ્ય રાજેશભાઈ વાઢેળ,ડોળાસા ના સરપંચ ગોવિંદભાઈ કાતિરા,ઉપ સરપંચ સુભાષભાઈ મોરી, નાનાવાડા, જંત્રાખડી, માલગામ, સહિત અનેક ગામો ના સરપંચો અને તલાટીઓ, આંગણવાડી ના અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત.રહ્યા હતા. ગીર સોમનાથમાં કાર્યક્રમોનું આયોજનગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળે સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો દ્રારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવી રહ્યાં છે જેમાં અનેક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

કામગીરી:પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકનાર સામે મનપાની કાર્યવાહી

પોરબંદર શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના હેતુસર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો અને પ્લાસ્ટિક ફેંકનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દેખરેખ વધારવામાં આવી છે. વોર્ડ નં. 2 વિસ્તારમાં ઝોન સેનિટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર દ્વારા ચકાસણી દરમિયાન એક ટીવીએસ શોરૂમ દ્વારા વાહનો ઉતાર્યા બાદ થયેલ પ્લાસ્ટિકનો કચરો નજીક આવેલા બ્રિજની નીચે ફેંકવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત સંસ્થા સામે રૂ.1,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ ગંદકી કે પ્લાસ્ટિકનો કચરો ફેંકવાથી પર્યાવરણને નુકસાન થાય છે તેમજ સ્વચ્છતા અભિયાનને અસર પડે છે. મનપાએ વેપારીઓ અને નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા સૂચના આપી છે. ઉપનિયમો મુજબ જાહેરમાં કચરો ફેંકતા ઝડપાશે તો રૂ. 5,000 સુધીનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નાગરિકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

ઘાતકી હત્યાનો મામલો આવ્યો સામે:હથોડીના ઘા ઝીંકી આધેડની નિર્મમ હત્યા, નદી કિનારેથી ઝાડીમાંથી લોહીલુહાણ લાશ મળી

ઝાલોદ તાલુકાના રામદ્વારા કંપાઉન્ડ વિસ્તારમાં રહેતા એક 51 વર્ષીય આધેડની અત્યંત કરૂણ અને નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા શખ્સે આધેડના માથામાં હથોડીના ઘા ઝીંકી અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી લાશને નદી કિનારે ફેંકી દેતા ચકચાર મચી ગઇ હતી. ઝાલોદના રામદ્વારા કંપાઉન્ડ, ચમાર ફળિયામાં રહેતા 71 વર્ષીય વૃદ્ધા વરદીબેન વીરાભાઇ ભુનાતરના પુત્ર 51 વર્ષીય નગીનભાઈ ગત તા.11 માર્ચે બપોરે 4 વાગ્યાના સુમારે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પરત ન ફરતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બીજા દિવસે બપોરે દોઢ વાગ્યાના અરસામાં માંડલી ખુંટા ગામે નદીના કિનારે ઝાડી-ઝાંખરામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સે નગીનભાઈને કોઈ પણ સ્થળે આંતરીને તેમના માથાના ભાગે હથોડી જેવા જીવલેણ હથિયારના ઉપરા-છાપરી ઘા ઝીંક્યા હતા. હત્યારાએ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવા સાથે ગળાના ભાગે પણ ઘા મારી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના આશયથી લાશને માંડલી ખુંટા નદીના કિનારે કાંટાળી ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી.આ મામલે મૃતકની માતા વરદીબેને ઝાલોદ પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:00 am

અમદાવાદમાં સગીરાના જ સગીરા સાથે શારીરિક અડપલાં:31st ઉજવવા પીડિતાને આબુ લઈ ગઈ, હોટલમાં બિયર પીવડાવ્યું; યુવક મિત્રએ દુષ્કર્મ આચર્યાનો વીડિયો બનાવ્યો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીર પીડિતા પર તેની 14 વર્ષીય સગીરા મિત્રએ તેના યુવક ફ્રેન્ડે સાથે મળી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિત સગીરા સહિત ત્રણેય થર્ટી ફર્સ્ટની પાર્ટીની ઉજવણી કરવા રાજસ્થાનના માઉન્ટ આબુ ગયા હતા. જ્યાં યુવકે હોટલમાં પીણું પીવડાવીને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવક પીડિતા સાથે દુષ્કર્મ આચરતો હોવાનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ ઉપરાંત 14 વર્ષીય સગીરાએ પીડિતાની છાતીના ભાગે અને પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવતી હોવાનો પણ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કર્યો હતો જેને લઈને પીડિતાએ યુવક અને 14 વર્ષીય સગીરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. 31st પર માઉન્ટ આબુ જવા માટે પીડિતાને ફોન કર્યોશહેરના રાણીપ વિસ્તારમાં 17 વર્ષીય પીડિતા તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ગાંધીનગરના કલોક ખાતે રહેતી 14 વર્ષીય સગીરા સાથે મિત્રતા બંધાઈ હતી. અવારનવાર તેઓ વાતચીત કરતા હતા. જોકે, 30 ડિસેમ્બર 2025ના રોજ 14 વર્ષીય સગીરાનો પીડિતા ઉપર ફોન આવ્યો હતો કે, 31st ડિસેમ્બરે માઉન્ટ આબુ ખાતે ન્યુ યર સેલિબ્રેશન કરવા મિત્રો સાથે ફરવા જવાનું નક્કી કર્યું છે. કલોલ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં માઉન્ટ આબુ જવા નીકળ્યાકલોક ખાતેથી ટ્રેનમાં બેસીને જવાનું છે જેથી પીડિતાએ પણ જવા માટે સંમતિ દર્શાવી હતી. પીડિતા રાત્રે 8:30 વાગ્યે રિક્ષામાં બેસીને ઝુંડાલ સર્કલ પાસે પહોંચી હતી. ટુવ્હીલર લઈને સગીરા અને તેનો મિત્ર દિવ્યેશ ઝુંડાલ ખાતે આવ્યા હતા. જ્યાંથી તેઓ કલોલ રેલવે સ્ટેશન ગયા હતા. રાત્રે 10:30 વાગ્યે કલોલ રેલવે સ્ટેશનથી તમામ ટ્રેનમાં બેઠા હતા અને 31st એ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા હતા. પીડિતાને થમ્સ અપમાં બિયર ભેળવીને પીવડાવ્યુંવહેલી સવારે થમ્સ અપ પીધી હતી જે બાદ આબુ ખાતે પહોંચીને હોટલ બુક કરાવી હતી. બપોરના સમયે તમામ મિત્રો પાર્ટી કરવા માટે બેઠા હતા. જેમાં પીડિતા અને 14 વર્ષીય સગીરા તેમજ તેના મિત્ર દિવ્યેશ ત્રણેયે એક જ રૂમમાં પાર્ટી કરી હતી. જ્યારે અન્ય મિત્રો અલગ રૂમમાં પાર્ટી કરવા બેઠા હતા. 14 વર્ષીય સગીરા અને દિવ્યેશે બિયર પીધું હતું. જ્યારે પીડિતાને થમ્સ અપમાં બિયર ભેળવીને પીવડાવી દીધું હતું. પીડિતાને જ્યારે ઉઠી ત્યારે તેના કપડાં વેરવિખેર હતાપીડિતાને ઘેન ચડતા તે બેભાન થઈ ગઈ હતી. પીડિતા જ્યારે ઉઠી ત્યારે તેના કપડાં વેરવિખેર હાલતમાં હતા. તેની સાથે કંઈ અજુગતું બન્યું હોવાનું લાગ્યું હતું. જેથી તેણે આ બાબતે દિવ્યેશ અને તેની 14 વર્ષીય સગીરા મિત્રને પૂછ્યું હતું, પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો. જે બાદ પીડિતા એકલી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગઈ હતી. પીડિતાનો નગ્ન વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ કર્યો11 માર્ચ 2026ના રોજ પીડિતા પોતાના ઘરે હાજર હતી તે દરમિયાન કલોલ ખાતે રહેતી એક યુવતીનો ઇન્સ્ટાગ્રામ પર કોલ આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, તારો ન્યૂડ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાઈરલ કરવામાં આવ્યો છે. પીડિતાના ઇન્સ્ટાગ્રામ પર તે વીડિયો મોકલવામાં આવ્યો હતો. પીડિતાએ જ્યારે તે વીડિયો જોયો ત્યારે વીડિયોમાં દિવ્યેશ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો હતો. 14 વર્ષીય સગીરાએ જ પીડિતાનો ઉતાર્યો હતોઆ ઉપરાંત 14 વર્ષીય સગીરા પણ પીડિતાની છાતી અને પ્રાઈવેટ પાર્ટમાં પણ હાથ ફેરવતી જોવા મળી હતી. આ વીડિયો 14 વર્ષીય સગીરા દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને તેણે જ વીડિયો વાઈરલ કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા અને તેના યુવક મિત્ર દિવ્યેશ સામે ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે પોક્સો, આઇટી એક્ટ, એટ્રોસિટી અને BNS કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 12:05 am

તમામ અધિકારીઓને દરખાસ્તો માટે નવી ગાઈડલાઈન જાહેર:સુરત મ્યુ. કમિશનરે તમામ દરખાસ્તો વહીવટદારની મંજૂરી માટે જ મોકલવા આદેશ કર્યો

સુરત મહાનગરપાલિકામાં નવા વહીવટદાર તરીકેની નિમણૂક બાદ મ્યુનિસિપલ વહીવટમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના આદેશ અનુસાર, IAS મિલિન્દ તોરવણેએ સુરત મહાપાલિકાના વહીવટદાર તરીકે વિધિવત્ ચાર્જ સંભાળી લીધો છે. જેના પગલે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને શુક્રવારે એક મહત્વનો આદેશ જાહેર કરી તમામ વહીવટી પ્રક્રિયાઓને નવી વ્યવસ્થા હેઠળ લાવવાની સૂચના આપી છે. તમામ દરખાસ્તો વહીવટદારની મંજૂરી માટે જ મોકલવાની રહેશેસ્થાયી સમિતિ અને સામાન્ય સભાની સત્તા હવે વહીવટદાર હસ્તક હાલમાં પાલિકામાં ચૂંટાયેલી પાંખની ગેરહાજરી હોવાથી વહીવટદાર જ સર્વોચ્ચ સત્તા ધરાવે છે. કમિશનર એમ. નાગરાજને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી જે કામો સામાન્ય સભા અથવા સ્થાયી સમિતિના કાર્યક્ષેત્રમાં આવતા હોય, તે તમામ દરખાસ્તો વહીવટદારની મંજૂરી માટે જ મોકલવાની રહેશે. આ આદેશથી પાલિકાના વહીવટમાં હવે વહીવટદારની ભૂમિકા નિર્ણાયક બની રહેશે અને જૂની પદ્ધતિ મુજબની કોઈ દરખાસ્તો સીધી રજૂ કરી શકાશે નહીં. દરખાસ્તો રજૂ કરવા માટે ખાસ ફોર્મેટ નક્કી કરાયુંનવી સૂચના મુજબ, અધિકારીઓએ દરખાસ્ત રજૂ કરતી વખતે ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરવાનો રહેશે. જો કોઈ કામ સ્થાયી સમિતિના કાર્યક્ષેત્રમાં આવતું હોય, તો તેના પર ‘આ કામ વહીવટદાર (સ્થાયી સમિતિ) સમક્ષ રજૂ કરશોજી’ તેમ લખવાનું રહેશે. તેવી જ રીતે, સામાન્ય સભા હેઠળના કામો માટે ‘આ કામ વહીવટદાર (સામાન્ય સભા) સમક્ષ રજૂ કરશોજી’ તેવા સ્પષ્ટ ઉલ્લેખ સાથે ફાઈલ પ્રોસેસ કરવાની રહેશે. તમામ વિભાગીય વડાઓ અને ઝોનલ ઓફિસરોને ચુસ્ત અમલની તાકીદકમિશનર દ્વારા આ નવી વ્યવસ્થાનો ચુસ્તપણે અમલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. આ અંગેની જાણ તમામ વિભાગીય વડાઓ, મુખ્ય અન્વેષક, મ્યુનિસિપલ સેક્રેટરી, સ્મીમેરના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટ તેમજ તમામ ઝોનના કાર્યપાલક ઈજનેરોને કરી દેવામાં આવી છે. કોઈપણ સ્તરે આ પ્રક્રિયામાં ચૂક ન રહી જાય તે માટે વહીવટી તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. વહીવટમાં પારદર્શિતા અને શિસ્ત લાવવાનો મુખ્ય ઉદ્દેશ્યઆ નવા ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટમાં પારદર્શિતા અને શિસ્ત લાવવાનો છે. હવે મહાપાલિકાની તમામ મહત્વની ફાઈલો અને વિકાસલક્ષી નિર્ણયો વહીવટદાર મિલિન્દ તોરવણેની સીધી દેખરેખ હેઠળ અને નિર્ધારિત નવી પદ્ધતિ મુજબ જ પ્રોસેસ થશે. આ વ્યવસ્થાથી શહેરમાં અટકેલા કે નવા પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી મળવાની પણ શક્યતા જોવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 12:05 am

દેશમાં માત્ર એક હોય એવી 5 કાર સુરતમાં જોવા મળી:એક કાર તો રાજકોટની નીકળી, ઇન્ટરનેશનલ ઓટો એક્સપોમાં વર્લ્ડ ક્લાસ કાર્સે જમાવટ કરી

સુરતમાં આયોજિત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોમાં વર્લ્ડ ક્લાસ કાર્સનું અદભૂત કલેક્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં ખાસ કરીને દેશમાં માત્ર એક માત્ર ઉપલબ્ધ હોય તેવી 5 રેર કાર્સ જોવા મળતા ઓટોમોબાઈલ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રદર્શનમાં રજૂ થયેલી ગાડીઓ પૈકીની એક શાનદાર કાર રાજકોટની હોવાનું સામે આવ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરના આ એક્ઝિબિશનમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 70થી વધુ બ્રાન્ડ્સ એક જગ્યાએ જોવા મળશેચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હવે વિશ્વના નકશા પર ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી રહ્યું છે. આ એક્સપોમાં દેશ-વિદેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ-વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. 70થી વધુ બ્રાન્ડ્સ એક જ છત નીચે જોવા મળશે, જે મુલાકાતીઓને ઓટોમોબાઈલ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણો સમજવામાં મદદરૂપ થશે. 'સુરતનો એક્સપો દિલ્હી પછીનો ભારતનો સૌથી મોટો કોમ્પોઝીટ એક્સપો છે'આ વર્ષનો ઓટો એક્સપો અનેક રીતે ખાસ છે. એક્ઝિબિશન ચેરમેન મેહુલ દેસાઈના જણાવ્યા અનુસાર, સુરતનો આ એક્સપો દિલ્હી પછીનો ભારતનો સૌથી મોટો કોમ્પોઝીટ એક્સપો છે. જેમાં પ્રીમિયમ અને લક્ઝરી બ્રાન્ડ્સ જેવી કે લક્ઝરી કાર્સ મિની કુપર, ઓડી, મર્સિડીઝ, બીએમડબલ્યુ, જેગુઆર-લેન્ડ રોવર પેસેન્જર સેગમેન્ટ ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, કિયા, જીપ, એમજી, રેનોલ્ટ, નિસાન, સ્કોડા, ટોયોટા અને ફોક્સવેગન તેમજ ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક સેગમેન્ટમા રોયલ એનફિલ્ડ, સુઝુકી, કેટીએમ, એથર, રિવર, કાઇનેટિક ઇલેક્ટ્રિક, બજાજ ચેતક, ટ્રીયમ્ફ અને યામાહા અને કોમર્શિયલ સેગમેન્ટ ટાટા અને સ્વરાજ મઝદાના વાહનો રખાયા હતા. 10 જેટલી વિન્ટેજ કાર્સનું સ્પેશિયલ ડિસ્પ્લેઓટો એક્સપોમાં આ વખતે 10 જેટલી અતિ દુર્લભ વિન્ટેજ કાર્સ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વાહન પ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાંથી પાંચ કાર ભારતમાં માત્ર એક જ છે જે જોઈને લોકો જણાવી રહ્યા હતા કે આ કાર પહેલી વખત જ જોવા મળી છે. આ ઉપરાંત 3 નવા કોમર્શિયલ વ્હીકલનું અન્વેલિંગ (લોન્ચિંગ) પણ આ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે. સાહસના શોખીનો માટે સ્ટંટ બાઇક શો અને ઓફ-રોડ પ્રુવિંગ ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક વ્હિકલ પર વિશેષ ભાર મૂક્યોસમયની માંગને ધ્યાનમાં રાખીને આ વખતે 'ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પેવેલિયન' પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ચેમ્બરના ચેરમેન નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે, અમે માત્ર વાહનો જ નહીં, પરંતુ એક્સેસરીઝ, સ્પેરપાર્ટ્સ અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તથા હાઇબ્રિડ ટેકનોલોજી પર ભાર મૂક્યો છે. મુલાકાતીઓ માટે ટેસ્ટ ડ્રાઈવની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી તેઓ વાહનના પર્ફોર્મન્સનો લાઈવ અનુભવ કરી ખરીદીનો નિર્ણય લઈ શકે. '5 ગાડી એવી છે જે ભારતમાં ફક્ત એક જ છે'ચેરમેન સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સ્પો મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, 10 વિન્ટેજ કારનું કલેક્શન છે બહુ પ્રાઈડ પઝેશન છે. 10માંથી 5 ગાડી એવી છે જે ભારતમાં ફક્ત એક જ છે અને આજે દસે દસ ગાડી છે એ ભારતના બહુ ખ્યાતનામ એવા બે વિન્ટેજ કલેક્ટર્સની ગાડી છે. એક છે મિસ્ટર વિવેક ગોએન્કા, જે ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના ચેરમેન છે અને બીજા છે મિસ્ટર નીતિનભાઈ ડોસા, જે વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ ઓફ ઈન્ડિયાના ચેરમેન છે. તેને વધુમાં કહ્યું કે, આ બધી ગાડીઓ અતિ દુર્લભ છે અને પરદેશથી પણ આ બધી ગાડીઓ જોવા માટે હિન્દુસ્તાનમાં જ્યારે આ વિન્ટેજનું એક્ઝિબિશન થાય ત્યારે લોકો આવે છે અને આ આપણું સુરતનું સદનસીબ છે કે આપણા આંગણે આ બધી ગાડીઓ આપણા સુરતીઓને જોવા મળી રહી છે. ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2026’ 16 માર્ચ સુધી રહેશેસુરત શહેરમાં આજથી પશ્ચિમ ભારતનો સૌથી મોટો અને ભવ્ય ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2026’ ખુલ્લો મૂકવામાં આવ્યો. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજિત આ ચાર દિવસીય પ્રદર્શન 13 માર્ચથી 16 માર્ચ 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહ્યું છે. આ મેગા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન શુક્રવાર, 13 માર્ચના રોજ સવારે 10 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ અશોક જીરાવાલા અને એક્ઝિબિશન ચેરમેન મેહુલ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને એસઆરકે ગ્રુપના ફાઉન્ડર ગોવિંદભાઈ ધોળકિયા, હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન સવજીભાઈ ધોળકિયા અને કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુકભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. એવન SS (Avon SS) - 1933આ ગાડી 1930ના દાયકાની બ્રિટિશ વિન્ટેજ કારોમાંની એક છે. આ કાર મૂળ બ્રિટનમાં બનાવવામાં આવી હતી અને પછી ભારતમાં રાજવંશીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી. આ કાર રાજકોટના રાજ પરિવારની છે. આ પ્રકારની ભારતમાં માત્ર એક જ કાર છે. હળવી બોડી હોવાથી કાર સારી સ્પીડ આપે છે. આ કારની માલિકી હાલમાં નિતિન દોશા પાસે છે. ટેકનિકલ સ્પેસિફિકેશન: મર્સિડીઝ-બેન્ઝ W108મર્સિડીઝ-બેન્ઝ રેડ પીગ ટ્રિબ્યુટ એક ક્લાસિક કાર છે જેને પ્રખ્યાત રેસિંગ કાર Mercedes-Benz 300 SEL 6.8 AMG પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. કાર મર્સિડીઝ-બેન્ઝ W108 પ્લેટફોર્મ પર આધારિત છે અને ભારતના જાણીતા ક્લાસિક કાર કલેક્ટર વિવેક અને ઝીટા ગોયન્કાના કલેક્શનનો ભાગ છે. જેને 1971માં એએમજી રેડ પિગ રેસિંગ મર્સિડીઝને ટ્રિબ્યુટ આપવા માટે બનાવવામાં આવી છે. જ્યારે કોઈ પણ કારની રેપ્લિકા કોઈ લિજેન્ડરી કારને સન્માન આપવા માટે બનાવવામાં આવે તેને ટ્રિબ્યુટ કાર કહેવાય છે. ટેકનિકલ સ્પેસિફિકેશન: કે ડીલેટ v20આ કારમાં 12 સિલિન્ડરનું એન્જિન છે આ કાર 1935 માં તૈયાર થઈ હતી આકારને ડિસ્કોટ કરીને કોન્સેપ્ટ કાર બનાવી છે આ કાર ભારતના જાણીતા ક્લાસિક કાર કલેક્ટર વિવેક અને ઝીટા ગોયન્કાના કલેક્શનનો ભાગ છે.ક્રાઈસલર વિનલ્સલ ડિલક્સઆકાર 1946 માં તૈયાર કરવામાં આવી હતી જેને મદ્રાસના ગવર્નર ઉપયોગમાં લેતા હતા અને હવે આકાર નીતિન ડોસા ન માલિકીની છે આ ટુ ડોર કાર છે જે લોકોને આકર્ષી રહી છે. પેકાર્ડ ક્લિપર 8 સિલિન્ડરઆ કાર 1947 માં તૈયાર કરવામાં આવી હતી આ કારમાં સ્ટ્રેટ-8 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 8 સિલિન્ડર એક જ લાઈનમાં હોવાથી આ એન્જિન અત્યંત શાંત અને ધ્રુજારી વગરનું ચાલતું હતું. તે જમાનામાં આ એક લક્ઝરી ગણાતી. ક્લિપર તેની 'સ્ટ્રીમલાઈન' ડિઝાઈન માટે પ્રખ્યાત હતી. તેના વળાંકો અને લુક તે સમયની અન્ય કારો કરતા ખૂબ જ આધુનિક હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 12:05 am

પંચમહાલ SOGએ વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પશુ સંરક્ષણ ધારા હેઠળ એક વર્ષથી ફરાર હતો

પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીની સંતરોડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હતી. SOG ના એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પીએસઆઈ બી.કે. ગોહિલ અને તેમની ટીમે સંતરોડ ખાતે વોચ ગોઠવી હતી. આ કાર્યવાહી દરમિયાન, એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઈદ્રીશ મજીદ રહીમ ઝડપાઈ ગયો હતો. SOG ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મોરવા (હ) પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 11:12 pm

પંચમહાલમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ, કૃષિ મેળા યોજાયા:પીએમ કિસાન સમ્માન નિધિ અને મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ આયોજન

પંચમહાલ જિલ્લામાં, બાજરી વિકાસ યોજના હેઠળ પીએમ કિસાન ઉત્સવ દિવસ અને તાલુકા સ્તરે કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. આજ સુધીમાં, પંચમહાલ જિલ્લામાં 200,000 થી વધુ ખેડૂતોએ પીએમ કિસાન પોર્ટલ પર નોંધણી કરાવી છે. કુલ ₹81,931.92 લાખની સહાય 21 હપ્તાઓ દ્વારા સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ 22મો હપ્તો જારી કરવાની જાહેરાત કરી, જેનો લાભ જિલ્લાના 195,076 લાભાર્થીઓને મળશે, જેના પરિણામે કુલ ₹3,968.00 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન, વિવિધ કૃષિ યોજનાઓ હેઠળ જિલ્લામાં કરોડો રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. AGR-50 યોજના હેઠળ, નવા ટ્રેક્ટર ખરીદવા માટે 1,371 લાભાર્થીઓને ₹1,371.00 લાખની સહાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ, 161 વેરહાઉસના નિર્માણ માટે ₹161.00 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જ્યારે વાયર ફેન્સિંગ યોજના હેઠળ, 77 લાભાર્થીઓને ₹112.00 લાખનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને સ્માર્ટફોન, સૌર ઉર્જા એકમો અને કૃષિ સાધનો મેળવવા માટે પણ સહાય આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રમાં નવીન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે, NMEO યોજના હેઠળ 1,500 થી વધુ ખેડૂતોને સોયાબીન અને એરંડાના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાજરીના પાકના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે અને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું સંચાલન કરવામાં મદદ કરે છે. રાજ્ય સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો અને કૃષિ ઉત્પાદકતા વધારવાનો છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 10:59 pm

ગીર સોમનાથમાં LPG વિતરણ માટે પોલીસ સતર્ક:કાળાબજારી રોકવા ડિસ્ટ્રીબ્યુટરો સાથે બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લામાં LPG ગેસના સુચારુ વિતરણ માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ, સુત્રાપાડા અને તાલાલાના LPG ગેસ ડિસ્ટ્રીબ્યુટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગેસ સિલિન્ડરની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસે LPG ગેસની કાળાબજારી, ગેરકાયદે સંગ્રહખોરી અને અનિયમિત વિતરણ જેવી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ડિસ્ટ્રીબ્યુટરોને ગેસ વિતરણમાં પારદર્શિતા અને નિયમિતતા જાળવવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ ગેરરીતિ કે કાળાબજારી સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. LPG વિતરણ એજન્સીઓ ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ ડિસ્ટ્રીબ્યુટરોને ગીર સોમનાથ જિલ્લા પોલીસ સાથે સતત સંકલન રાખવાની સૂચના પણ અપાઈ હતી. બેઠક દરમિયાન, ડિસ્ટ્રીબ્યુટરોએ પુરવઠા વ્યવસ્થાને સરળ બનાવવા અને ગ્રાહકોને સમયસર LPG ગેસ ઉપલબ્ધ કરાવવા પોલીસને સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસ તંત્રના આ પગલાંથી જિલ્લામાં LPG ગેસના વિતરણમાં પારદર્શિતા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 10:56 pm

'સ્વચ્છતા' મામલે મ્યુ. કમિશનરની લાલ આંખ બાદ નરમ વલણ:ડે. હેલ્થ ઓફિસરનું સસ્પેન્શન રદ થતા વહીવટી આલમમાં અનેક તર્ક-વિતર્ક

સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન સપ્રાઈઝ વિઝિટ કરી રહ્યા હતા, ત્યારે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયેલા સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. અજિત ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર મનપા કમિશનર એમ. નાગરાજ દ્વારા રદ કરવામાં આવવાનો હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ નિર્ણયને પગલે મનપાના વિવિધ વિભાગોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. 'માર્કેટ ક્લીનલીનેસ' થીમ હેઠળ સફાઈ કામગીરી સોંપાઈ હતીમળતી માહિતી મુજબ, સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાળવી રાખવા માટે મનપા દ્વારા 8થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ થીમ આધારિત સફાઈ ઝુંબેશ નક્કી કરવામાં આવી હતી. 16 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ ઝોનના ભાગળ વિસ્તારમાં આવેલી વેજીટેબલ માર્કેટ અને તેની આસપાસના વિસ્તારોમાં 'માર્કેટ ક્લીનલીનેસ' થીમ હેઠળ સફાઈ કામગીરી સોંપવામાં આવી હતી. આ વિસ્તારની જવાબદારી નાયબ આરોગ્ય અધિકારી ડો. અજિતકુમાર પ્રવિણચંદ્ર ભટ્ટના શિરે હતી. કમિશનરની તપાસમાં ગંદકી જોવા મળી હતીમનપા કમિશનર એમ. નાગરાજ વહેલી સવારે 8 વાગ્યે કોઈ પણ પૂર્વ સૂચના વગર ભાગળ વિસ્તારમાં આકસ્મિક નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. કમિશનર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને આયોજન મુજબની સફાઈ કામગીરી ક્યાંય નજરે પડતી નહોતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, જે અધિકારીએ આખી કામગીરીનું સુપરવિઝન કરવાનું હતું તે ડો. અજિત ભટ્ટ પોતે જ સ્થળ પર ગેરહાજર હતા. ગેર હાજરીને લઈ કમિશનરે સસ્પેન્ડનો આદેશ આપ્યો હતોઅગાઉથી થીમ અને સ્થળ નક્કી હોવા છતાં જવાબદાર અધિકારીની ગેરહાજરી અને ફરજ પ્રત્યેની આ ઘોર બેદરકારી જોઈને કમિશનર લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે સ્થળ પરથી જ આદેશ આપીને ડો. અજિત ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ જાહેર કર્યો હતો. ડો. ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર રદસસ્પેન્શનની આ ઘટનાને હજુ પૂરો એક મહિનો પણ થયો નથી, ત્યાં કમિશનરે અચાનક નરમ વલણ દાખવીને ડો. ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર રદ કરી તેમને પુનઃ ફરજ પર લેવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ મામલે જ્યારે મધ્યમ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચા જાગી છે. અધિકારીએ ભૂલ સુધારવાની તક માગ્યાની ચર્ચાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડો. અજિત ભટ્ટ દ્વારા પોતાની ભૂલ સ્વીકારીને લેખિતમાં માફી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે ખાતરી આપી છે કે, ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની શિસ્તભંગની ઘટના કે ફરજમાં બેદરકારી નહિ દાખવે. માનવીય અભિગમ અને અધિકારીને પોતાની ભૂલ સુધારવાની એક તક આપવાના હેતુથી તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 10:12 pm

ગૌ સેવા માટે હિન્દુ પ્રીમિયર લીગનું આયોજન:બોટાદમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 15 માર્ચે ટુર્નામેન્ટ યોજાશે

બોટાદમાં ગૌ સેવાના લાભાર્થે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સનાતન હિન્દુ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 15 માર્ચ, 2026, રવિવારના રોજ સવારે 10:00 કલાકે હેલીપેડ ક્રિકેટ ગ્રાઉન્ડ, ત્રિકોણી ખોડિયાર પાસે યોજાશે. આ પ્રીમિયર લીગમાં કુલ 9 ટીમના 108 સનાતની હિન્દુ ખેલાડીઓ ભાગ લેશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સંસ્કૃતિનું જતન, સનાતન ધર્મની રક્ષા અને સર્વ જ્ઞાતિના લોકોમાં એકતા વધારવાનો છે. આ પ્રીમિયર લીગમાં રાજકીય આગેવાનો, પત્રકારો અને સાધુ-સંતો સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓને આ રસાકસીભર્યા મુકાબલા નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 10:01 pm

રાવલ નગરપાલિકાની નવી બિલ્ડિંગનું લોકાર્પણ:જિલ્લા ભાજપના મહામંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

જામ રાવલ નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી પરબતભાઈ ભાદરકા, જિલ્લા ઉપ પ્રમુખ ટપુભાઈ સોનગરા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુર જમોડ અને નગરપાલિકા ઉપ પ્રમુખ ડો. મનોજભાઈ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાવલ શહેર પ્રમુખ સચિન અગ્રાવત, રાવલ શહેર મહામંત્રી મનોજભાઈ મેર, યુવા પ્રમુખ રાજેશભાઈ સોલંકી અને મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન મશરૂ પણ હાજર રહ્યા હતા.આ ઉપરાંત, નગરપાલિકાના સદસ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:59 pm

ગણેશવાલા અને પરવાના લાંચ કેસ:કોર્ટે પરવાનાની આગોતરા જામીન અરજી ફગાવી, કોર્ટ કહ્યું-'આરોપી નિયમિત જામીન પર મુક્ત થવાને પણ લાયક નથી'

સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં ગાજેલા 21 લાખના લાંચ પ્રકરણમાં એસીબીના છટકા દરમિયાન લાંચની રકમ લઈને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયેલા આરોપી ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 12માં એડિશનલ સેશન્સ જજ કમલેશ પ્રજાપતિએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તે જામીન મેળવવાને લાયક નથી. 'જામીન આપવા જોખમી, સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે'આરોપી પરવાના પઠાણની આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે અત્યંત કડક અવલોકનો કર્યા હતા. જજ કમલેશ પ્રજાપતિએ નોંધ્યું હતું કે, આરોપી સામે અગાઉથી જ 6 ગુનાઓ નોંધાયેલા છે. જો આવા સંજોગોમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે કેસના પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી ડરાવી શકે છે. આથી, તપાસના હિતમાં આરોપીને કોઈ પણ પ્રકારની રાહત આપી શકાય નહીં. ઇજનેરનો 'ખાસ' બની 21 લાખનો સોદો કર્યોઆ કેસમાં ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. લીંબાયત ઝોનમાં ફરિયાદીના ઇન્ડસ્ટ્રિયલ યુનિટનું ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે તેણે વચેટિયા તરીકે એન્ટ્રી કરી હતી. તેણે ફરિયાદીને એવું કહીને ડરાવ્યા હતા કે તે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાનો અત્યંત નજીકનો માણસ છે. આ વગનો ઉપયોગ કરીને તેણે બાંધકામ ન તોડવા માટે 21 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને ભ્રષ્ટાચારના આ નેટવર્કનું સંચાલન કર્યું હતું. ACB ટ્રેપમાં 4 લાખ લઈને ફરાર, ઇજનેર જેલમાંગત 13 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે એસીબીએ છટકું ગોઠવ્યું, ત્યારે પરવાના પઠાણ લાંચના હપ્તા પેટે 4 લાખ રૂપિયા લેવા આવ્યો હતો. જોકે, ટ્રેપની ગંધ આવી જતાં તે એસીબીના અધિકારીઓને થાપ આપીને રોકડ રકમ સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી ગણાતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ હાલ જેલમાં છે, જ્યારે લાંચની રકમ લઈને ભાગનાર પરવાના હજુ પોલીસ પકડથી દૂર છે. સરકારી વકીલની દલીલ- 'આરોપી રીઢો ગુનેગાર છે'સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આગોતરા જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીએ સરકારી અધિકારીના નામે લાંચ માંગી છે અને ટ્રેપ દરમિયાન નાસી છૂટીને કાયદાનો અનાદર કર્યો છે. તેની સામે નોંધાયેલા અન્ય 6 ગુનાઓ તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે, જેનાથી આરોપી પર હવે ધરપકડની તલવાર લટકી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:58 pm

સુરત RTO મહિલા ઇન્સ્પેક્ટરને ‘જોઈ લેવાની’ ધમકી:RTOમાં એજન્ટે એસીબીનો ડર બતાવી ગેરકાયદે કામનું દબાણ કર્યું, અડાજણ પોલીસે ધરપકડ કરી

સુરતની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ફરજ બજાવતા એક મહિલા આસિસ્ટન્ટ મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટરને ડરાવી-ધમકાવી ગેરકાયદે કામો કરાવવા માટે દબાણ કરતા એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ મહિલા અધિકારીને ધમકી આપી હતી કે તમે મારું કામ કરતા નથી, હું તમને જોઈ લઈશ. એટલું જ નહીં, આરોપીએ એસીબીના અધિકારીઓ સાથે પોતાના ઘરોબા હોવાનો દાવો કરી મહિલા ઇન્સ્પેક્ટર પર માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. અડાજણ પોલીસે આરોપી એજન્ટ ની ધરપકડ કરી. શું છે સમગ્ર ઘટના?આ મામલે ફરિયાદી કોમલબેન રામજીભાઈ મકવાણા, જેઓ સુરત પાલ RTO કચેરી ખાતે છેલ્લા સાડા ત્રણ વર્ષથી સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત અઢી મહિના પહેલા થઈ હતી. કોમલબેન પોતાની કાયદેસરની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કચેરીમાં એજન્ટ તરીકે આવતા જગદીશ ઉર્ફે જગો બાબુભાઈ પટેલ નામના શખ્સે તેમના કામમાં રૂકાવટ ઉભી કરવાનું શરૂ કર્યું હતું. આરોપી અવારનવાર ડ્રાઈવિંગ સ્કૂલના કામો માટે કચેરીમાં આવતો હતો અને અધિકારીઓ પર અયોગ્ય દબાણ કરતો હતો. તમે ટેબલ પર મૂકી દો, અમે જોઈ લેશુંફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી જગદીશ ઉર્ફે જગો અવારનવાર કોમલબેનને કહેતો હતો કે, અમારું કામ કોઈ પણ RTO કચેરીમાં અટકતું નથી, તમારી પાસે જે કામ લઈને આવું ત્યારે તમે ટેબલ પર મૂકી દો, અમે જોઈ લેશું. જ્યારે મહિલા અધિકારીએ નિયમ મુજબ જ કામ કરવાનો આગ્રહ રાખ્યો, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કચેરીમાં જ ગેરવર્તણૂક કરી દબાણ પૂર્વક ગેરકાયદે કામો કરાવવા માટે ધાક-ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ACB ના પી.આઈ. મિત્ર હોવાનો ખોટો પ્રભાવ અને માનસિક ત્રાસઆ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીએ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ના નામે અધિકારીને ડરાવવાનો પ્રયાસ કર્યો. જગદીશે અન્ય વ્યક્તિ મારફતે મેસેજ મોકલાવ્યો હતો કે સુરત એસીબીના પી.આઈ. તેના અંગત મિત્ર છે અને તેઓ ફરિયાદી વિશે પૂછપરછ કરી રહ્યા છે. આરોપીએ એવો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો કે જો મહિલા ઇન્સ્પેક્ટર તેનું કામ નહીં કરે, તો તે એસીબીના અધિકારીઓ દ્વારા તેમને ફસાવી દેશે. આ પ્રકારના મેસેજ મોકલી આરોપીએ અધિકારીને સતત માનસિક ત્રાસ આપ્યો હતો. હું તમને જોઈ લઈશની ખુલ્લી ધમકીઘટનાની વિગત મુજબ, ગત તા. 2 ફેબ્રુઆરી 2026 ના રોજ જ્યારે કોમલબેન ફરજ પર ટ્રેક વેરિફિકેશનની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે જગદીશ પટેલે ત્યાં આવીને જાહેરમાં ધમકી આપી હતી કે, તમે મારું કામ કરતા નથી, હું તમને જોઈ લઈશ. આ પ્રકારની વર્તણૂકથી મહિલા અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી થઈ હતી. આરોપીની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે સરકારી કામમાં અડચણ ઉભી કરવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો નહોતો. વોટ્સએપ મેસેજ અને વચેટિયાઓનો ઉપયોગ કરી પજવણીઆરોપી જગદીશ સીધો સંપર્ક કરવાને બદલે કલ્પેશભાઈ કેસુર નામના વ્યક્તિના મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલી ફરિયાદીને ધમકાવતો હતો. તેણે મેસેજમાં લખાવ્યું હતું કે, કોમલ મેડમને કહેજો કે સવારના 9 થી 10 માં મારા નંબર પર વોટ્સએપ કોલ કરે. આ મેસેજ દ્વારા તે પોતાની વગ બતાવી મહિલા અધિકારીને દબાવવા માંગતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાન્યુઆરી 2026 થી સતત આ પ્રકારે મેસેજ કરી માનસિક ત્રાસ આપી રહ્યો હતો. આરોપીનો ગુનાહિત રોલ અને પોલીસ કાર્યવાહીઆરોપી જગદીશ ઉર્ફે જગો બાબુભાઈ પટેલ (રહે. ફિક્કલ એવન્યુ, પાલનપુર કેનાલ રોડ, અડાજણ) વિરુદ્ધ સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, ધાક-ધમકી અને માનસિક ત્રાસ આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે ધરપકડ કરાઈ છે.એફઆઈઆરમાં સ્પષ્ટ છે કે આરોપી આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરે છે અને પોતાની ઓળખનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માંગતો હતો. આરોપીએ પોલીસ અધિકારીઓના નામનો દુરુપયોગ કરી જે રીતે મહિલા અધિકારીને ટાર્ગેટ કર્યા છે, તે બાબતને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:53 pm

જગતપુરમાં જુગારના અડ્ડા પર PCBના દરોડા, પાંચ ઝડપાયા:ફ્લેટમાં જુગાર રમવા દેવા 300 રૂપિયા લેવાતા, પૈસા હારી જાય તો ગીરવે મૂકવા વાહનો લઈ આવતાં

શહેરના જગતપુર વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો નામના ફ્લેટમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવા અંગેની બાતમી PCBની ટીમને મળી હતી. જેના આધારે દરોડો પાડીને જુગાર રમતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપી મકાન માલિક બહારથી જુગાર રમવા માટે લોકોને બોલાવતો હતો અને દરેક જુગારી તેને 500 આપતો હતો. જે આરોપી જુગારમાં પૈસા હારી જાય તો તે પોતાના મોબાઈલ ફોન અને ગાડીઓ પણ ગીરવે મૂકતા હોવાથી લઈને આવતા હતા. પોલીસે દરોડો પાડી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોPCB ટીમને બાતમી મળી હતી કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી રોડ સેવીય સ્ટુડીયો બ્લોક A/705માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે PCB ટીમના મહાવીરથી અને ધર્મેન્દ્રસિંહ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પાંચ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા તેમની પાસેથી અંગજડતી તથા દાવના નાણા મળી કુલ્લે રોકડા રૂ.63,100, મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂ.60,000, ફોર વ્હીલર-2 કિ.રુ.24,00,000 સહિતનો કુલ 25 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જુગાર રમતા પાંચ લોકોને ઝડપી પાડ્યાપોલીસે મકાન માલિક વિસ્મય તારેશભાઇ પંડયા રહે.બ્લોક A/705, સેવીય સ્ટુડીયો ગોદરેજ ગાર્ડન સિટી રોડ પાસે જગતપુર, પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પંચાલ રહે.211,સત્વ હોમ્સ 02 આશ્રય 10 ફલેટની બાજુમાં ન્યુ રાણીપ, રમેશભાઇ ઘનશ્યામભાઇ દલવાડી રહે.D/501,આશ્રય 10 ખોડીયાર માતાના મંદિર બાજુમાં, ન્યુ રાણીપ, ભાવીન પ્રવીણભાઇ પટેલ રહે.B -502, ગણેશ સોપાન ફલેટ, ન્યુ રાણીપ, વાલજીભાઇ રામજીભાઇ ટાંક રહે.B/406, વીકટોરી સન રાઇઝ વિશ્વાસ સીટી 7ની સામે ન્યુ ગોતાની ધરપકડ કરી હતી. મોંઘીદાટ કિંમતની વિવિધ બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળનું વેચાણશહેરના ચાંદલોડિયા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલી ક્વીક સ્ટોરમાં મોંઘીદાટ કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી હતી. કંપનીના અધિકારીને માહિતી મળતા તેમણે તપાસ કરાવી હતી. જેમાં ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી હોવાનું જાણવા મળતા સોલા પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસે કંપનીના વ્યક્તિને સાથે રાખીને આ દુકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે 132 ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે લઇને ગુનો નોંધ્યોવંદે માતરમ રોડ પર ક્વીક સ્ટોર નામની દુકાનમાંથી વેપારી મૌલિક અશ્વિનભાઇ પારેખ (રહે. ઋતુરાજ સોસા., ચાંદલોડિયા) પાસેથી વિવિધ કંપનીની વિવિધ ડુપ્લીકેટ ઘડિયાળો મળી આવી હતી. પોલીસે વેપારી મૌલિક પારેખની દુકાનમાંથી કુલ 132 ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે લઇને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, વેપારી મૌલિક આ તમામ ડુપ્લીકેટ ઘડિયાળનો જથ્થો મુંબઇથી લાવીને રૂ. 500 થી માંડીને બે-ત્રણ હજારમાં વેચતો હોવાનું સામે આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:46 pm

વેરાવળ પાલિકાને PGVCLની નોટિસ:₹1.55 કરોડનું વીજ બિલ બાકી, કડક કાર્યવાહીની તૈયારી

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ₹1.55 કરોડના બાકી વીજ બિલની ચુકવણી ન થતા નોટિસ ફટકારવામાં આવી છે. PGVCL દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, નગરપાલિકા પર પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો પેટે કુલ ₹155.93 લાખ (₹1.55 કરોડ)ની રકમ બાકી છે. જો આ બિલની સમયસર ચુકવણી નહીં થાય અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે, તો શહેરના લોકોને પાણી પુરવઠા અને સ્ટ્રીટલાઈટ જેવી આવશ્યક સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે.PGVCL વેરાવળ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બાકી રકમની વસૂલાત માટે નગરપાલિકા તંત્રને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.તેમણે ઉમેર્યું હતું કે, આટલી રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા બિલની ચુકવણી બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, વીજ કંપનીને હવે કડક વલણ અપનાવવાની ફરજ પડી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:40 pm

યુવકને ફોસલાવી ગઠિયો બે લાખ લઈ છૂમંતર:બેંક બહાર બે અજાણ્યા શખસોએ યુવકની થેલીમાંથી બે લાખ સરકાવી લીધા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બેંક બહાર યુવકને વાતોમાં ફસાવી તેની થેલીમાંથી રૂપિયા 2 લાખ ચોરી કરાયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ બે શખસો યુવક પાસે આવ્યાપોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ માંજલપુરના શિવનગર રઝા મસ્જિદ પાસે રહેતા મેરાજઅલી ઈદરીસઅલી શેખ (ઉ.વ. 30) તા. 13 માર્ચના રોજ બપોરે અંદાજે 12 થી 12:20 વાગ્યા દરમિયાન મકરપુરા GIDC વિસ્તારમાં ભુમિ બેકરી પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમણે બેંકમાંથી રૂપિયા બે લાખ ઉપાડ્યા બાદ બે અજાણ્યા શખસો તેમની પાસે આવ્યા હતા. બંને શખસો થેલીમાંથી બે લાખની રકમ કાઢી લઈ ફરારબન્ને શખસોએ ફરિયાદીને નોટો બદલી આપવાની અને નાસ્તો કરાવવાની વાત કરી તેમને વાતોમાં ફસાવી બેંકની બહાર લઈ ગયા હતા. ત્યારબાદ એક શખસે ફરિયાદીની પૈસા ભરેલી થેલીમાં રૂમાલમાં બાંધેલું બંડલ મૂકી દીધું અને ફરિયાદીની નજર ચૂકવી તેની થેલીમાંથી રૂપિયા બે લાખની રકમ કાઢી લઈ ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી પછી ફરિયાદી ઘરે પહોંચ્યા બાદ બંડલ તપાસતા પહેલી અને છેલ્લી નોટ સાચી નીકળી હતી. જ્યારે વચ્ચેની બધી નોટોની જગ્યાએ કાગળ મૂકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે ગઠિયાઓએ ચતુરાઈપૂર્વક રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:34 pm

વિધાનસભા સત્રમાં ગ્લૂ ટ્રેપ ઉપર બિલ લવાશે કે નહીં?:સરકારી વકીલ હાઇકોર્ટને જાણ કરશે, અરજદારોએ કહ્યું- કલેક્ટરનું 60 દિવસનું જાહેરનામું સમાપ્ત થતા ગ્લૂ ટ્રેપનું વેચાણ થઈ રહ્યું છે

ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ, ઉત્પાદન સામે શિક્ષાત્મક કાર્યવાહી અંગે રાજ્ય સરકાર દ્વારા ચાલુ બજેટ સત્રમાં બિલ મુકાશે કે કેમ તે અંગે સરકારી વકીલ સોમવારે ગુજરાત હાઇકોર્ટને જાણકારી આપશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ચોમાસુ સત્રમાં આ બિલ મૂકવાની વાત થઈ હતી, પરંતુ સત્ર માત્ર બે દિવસ ચાલ્યું હોવાથી બિલ મુકી શકાય નહોતું. વળી અરજદારે જણાવ્યું હતું કે, કલેકટર દ્વારા ગ્લુ ટ્રેપ ઉપર પ્રતિબંધનું જાહેરનામું 60 દિવસ જ અસ્તિત્વ ધરાવતું હોવાથી તે જાહેરનામું નિષ્ક્રિય થતા જ ગ્લુ ટ્રેપનું વેચાણ બજારમાં થઈ રહ્યું છે. પ્રસ્તાવને ગૃહ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યો હતોઅગાઉ આ મુદ્દે હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, પ્રાણીઓ પરની ક્રુરતાનો કાયદો કેન્દ્ર સરકારનો છે અ્ને સમવર્તી યાદીમાં હોવાથી તેથી રાજ્ય સરકારે કેટલાક સંશોધન કરવાની જરૂર છે. જે માટે સંબંધિત વિભાગોની એક બેઠક મળી હતી. જેમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, ઉત્પાદન અને વેચાણને BNSની ધારા-325 હેઠળ ગુનો ગણવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવને ગૃહ વિભાગ દ્વારા લેજીસ્લેટિવ અને પાર્લામેન્ટ્રી ડિપાર્ટમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેથી કરીને વિધાનસભામાં નવું સંશોધન અમલી બની શકે. હાઇકોર્ટે કહ્યું કે તેનું કામ સરકારને સલાહ આપવાનું નથીપાર્લામેન્ટ્રી વિભાગ દ્વારા કેટલાક સુધારા કરવા પ્રસ્તાવ ગૃહ વિભાગને પરત મોકલવામાં આવ્યો હતો. જેથી તેમને કેટલોક સમય આપવામાં આવે. અરજદારે જણાવ્યું હતું કે વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર પૂર્ણ થયું છે. જેમાં સુધારો મૂકી શકાયો નથી. હવે વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરી મહિનામાં મળશે અથવા સરકાર વટહુકમ લાવીને તેમાં સુધારો કરી શકે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તેનું કામ સરકારને સલાહ આપવાનું નથી. ઓથોરિટી હાઇકોર્ટના નિર્દેશ અનુસાર યોગ્ય કાર્યવાહી કરશે. ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 અંતર્ગત PETAની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 5 સપ્ટેમ્બર, 2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેના કડક અમલીકરણ માટે આ અરજી કરવામાં આવી છે. ગ્લુ ટ્રેપ પર ઉંદર, ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રિબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા તેઓ પોતાના જ અંગોને બચકાં ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે. ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:22 pm

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:રાજ્યની 394 પાલિકા-પંચાયતો માટે 26 માર્ચે કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધવા લાગી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટેની તૈયારી તેજ કરવામાં આવી છે અને વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ 26 માર્ચ આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં કુલ 394 સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈઆ ચૂંટણી 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ પ્રથમ વખત યોજાનાર હોવાથી રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પાર પડે તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. સાથે સાથે મતદાર યાદી સુધારણા, વોર્ડ ગોઠવણી અને તંત્રકીય તૈયારીઓ પણ ઝડપી કરવામાં આવી છે. ઉમેદવારોની પસંગી પ્રક્રિયામાં યુવા નેતાઓને તક આપવા પર ભારઆગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠન સ્તરે બેઠકોનો દોર શરૂ કર્યો છે. સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો અને સરકારની યોજનાઓને મુખ્ય મુદ્દા બનાવી પ્રચાર કરવાની વ્યૂહરચના ઘડાઈ રહી છે. કોંગ્રેસે પણ ઉમેદવારો પસંદ કરવા માટે પ્રક્રિયા શરૂ કરી છે. જિલ્લા અને શહેર સ્તરે દાવેદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે અને યુવા નેતાઓને તક આપવા પર પણ ભાર મૂકાઈ રહ્યો છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ તેજઆમ આદમી પાર્ટી પણ શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે ગઠબંધન ન બને તો તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે ઉમેદવારો ઊભા કરવાની તૈયારી પણ પાર્ટી દર્શાવી રહી છે. સ્થાનિક ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષોની બેઠકો, ઉમેદવાર પસંદગી અને પ્રચાર વ્યૂહરચનાઓને કારણે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:12 pm

9.32 કરોડ ખેડૂતોને PM-કિસાનનો 22મો હપ્તો મળ્યો:સોમનાથમાં 'ઉત્સવ દિવસ' અને 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી કરાઈ

સોમનાથ ખાતે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' અંતર્ગત જિલ્લાકક્ષાના 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' અને 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ-કિસાન યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરાયો હતો, જેનાથી દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 18650 કરોડ જમા થયા હતા. પ્રભાસપાટણના રામમંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આસામના ગુવાહાટી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ખેડૂતોએ નિહાળ્યું હતું. પ્રદેશ બક્ષીપંચના અધ્યક્ષ માનસિંહભાઈ પરમારે અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પીએમ-કિસાન યોજના ખેડૂતો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ૨૨મા હપ્તા દ્વારા કરોડો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળ્યો છે. નાયબ ખેતી નિયામક પુષ્પકાંત સ્વર્ણકારે 'શ્રી અન્ન' (મિલેટ્સ)નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે બાજરો, જુવાર, મકાઈ, રાગી અને સામો જેવા પાક શરીરને પોષણ પૂરું પાડે છે. તેમણે પ્રાકૃતિક રીતે શ્રી અન્નની ખેતી અને તેના ફાયદા પર ભાર મૂક્યો હતો. કૃષિ વૈજ્ઞાનિક હડિયલે પ્રાકૃતિક ખેતીની મહત્તા, આચ્છાદન, સેન્દ્રીય કાર્બનનું મહત્વ અને ખેતી પર અનિયમિત વરસાદ તથા એગ્રો કેમિકલ્સની અસરો વિશે માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક પાકોના ઉત્પાદન અને ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 6992 ખેડૂતોને રૂ. 25.34 કરોડની ખેતીલક્ષી સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમ ઉપરાંત સૂત્રાપાડા અને ઉના સહિત પાંચ તાલુકાકક્ષાના કાર્યક્રમો પણ યોજાયા હતા. જિલ્લાના તમામ ખેતી ઉત્પન્ન બજારો, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, ગ્રામ પંચાયતો અને સહકારી મંડળીઓ ખાતેથી પણ ખેડૂતોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર યોગેશ જોશી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, અગ્રણી ડૉ. સંજયભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ઝાલા, પ્રદ્યુમનભાઈ ડોડિયા, દેવરાજભાઈ રાઠોડ, ભરતભાઈ બાકુ, નાયબ બાગાયત નિયામક કુલદિપ સોજીત્રા અને ખેતીવાડી અધિકારી વિમલ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:06 pm

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સાયબર સુરક્ષા સેમિનાર:નિષ્ણાતોએ ઓનલાઈન ઠગાઈથી બચવા અને સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ શીખવ્યો

વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા 'સાયબર સુરક્ષા જાગૃતિ' વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓ સામે જનજાગૃતિ લાવવાનો આ સેમિનારનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સત્રમાં યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ અત્યંત જરૂરી છે અને વિદ્યાર્થીઓએ ટેક્નોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સેમિનારમાં નિષ્ણાત તરીકે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના બાયોકેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ વિભાગના પ્રો. કશ્યપ જોશી, વેરાવળ શહેર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.પી. પ્રજાપતિ અને વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રો. પ્રકાશ ખસોર (ઓનલાઈન માધ્યમ દ્વારા) જોડાયા હતા. નિષ્ણાતોએ તેમના વ્યાખ્યાનોમાં ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઈમ, ઓનલાઈન ઠગાઈ, ફિશિંગ, નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડી વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે મજબૂત પાસવર્ડનો ઉપયોગ, OTP શેર ન કરવો, શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવું અને સત્તાવાર વેબસાઇટ્સનો જ ઉપયોગ કરવો જેવી મહત્વપૂર્ણ સુરક્ષા બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. પોલીસ વિભાગના પ્રતિનિધિએ સાયબર ગુનાની ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને કાયદાકીય કાર્યવાહી અંગે માહિતી આપી હતી. આ સેમિનારથી વિદ્યાર્થીઓ અને સંશોધક વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે વધુ જાગૃતિ આવી. કાર્યક્રમના અંતે નરેન્દ્ર કુમાર પંડ્યાએ આભારવિધિ કરી હતી. આ સેમિનારમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:05 pm

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ વલસાડ પહોંચ્યા:રેલવે સ્ટેશન પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત, કાલે ધરમપુર ખાતે ‘બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન’ ને સંબોધશે

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ વલસાડ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આજે સાંજે વલસાડ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ ફૂલહાર અને નારાઓ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત ભાજપના અગ્રણીઓ, સરપંચો અને પાલિકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સ્ટેશન પર સ્વાગત બાદ પ્રદેશ અધ્યક્ષ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજે 6.30 કલાકે તેમણે જિલ્લા સંગઠન, સાંસદ, ધારાસભ્યો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો અને સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જગદીશ પંચાલના આવતીકાલના કાર્યક્રમોમાં સવારે 9:00 કલાકે ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર મિશનની મુલાકાત અને દર્શનનો સમાવેશ થાય છે. ત્યારબાદ સવારે 10:00 કલાકે તેઓ ધરમપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ‘બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન’ ને સંબોધશે. જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષના આ પ્રવાસથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બુથ સ્તર સુધી સંગઠન વધુ મજબૂત બનશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 9:02 pm

શેર બજારમાં નફાની લાલચમાં વિદ્યાર્થીએ 1 લાખ ગુમાવ્યાં:ગઠિયાએ વૃદ્ધને ફોન કરી પડોશી બોલતા હોવાનું કહી ઈમરજન્સી જણાવી 25 હજાર પડાવ્યા

શહેરમાં સાયબર ઠગાઈ અને ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં મોટા નફાની લાલચ આપીને વિદ્યાર્થીઓને નિશાન બનાવતા ગઠિયાઓ હોય કે ઓળખાણના નામે ઇમરજન્સી કહી પૈસા માંગતા ઠગ નવા નવા ઉપાયો દ્વારા લોકોને શિકાર બનાવી રહ્યા છે. દાણીલીમડા અને કાગડાપીઠ વિસ્તારમાં બે અલગ-અલગ ઠગાઈની ઘટનાઓ સામે આવી છે. જેમાં દાણીલીમડામાં શેર બજારમાં રોકાણથી નફાની લાલચ આપી વિદ્યાર્થી પાસેથી 1.27 લાખ પડાવ્યા છે. તો કાગડાપીઠમાં પડોશીના નામે ગઠિયાએ વૃદ્ધ વેપારીને ફોન કરીને ઇમરજન્સી હોવાનું કહી 25 હજાર પડાવ્યા હતા. બંને ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 20 ટકા કમિશન સાથે સારા નફા સાથે રોકાણ કરવા કહ્યુંદાણીલીમડા વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને ગઠિયાઓએ લાખો રૂપિયાના નફાની લાલચ આપી 1.27 લાખની ઠગાઈ આચરી છે. દાણીલીમડામાં રહેતા અને અભ્યાસ કરતા મયંક પિત્રોડાને 9 માર્ચના રોજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાનું નામ જય પટેલ જણાવ્યું હતું અને શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો કરાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાયબર ગઠિયાએ મયંકને જણાવ્યું હતું કે, તેના જાણીતા બ્રોકર ટ્રેડિંગ કરાવીને વધુ નફો કરાવી આપશે, જેમાંથી માત્ર 20 ટકા કમિશન આપવું પડશે. નફો બતાવી વધુ રોકાણ કરાવ્યુંજે બાદ વિશ્વાસમાં લઈ ગઠિયાએ મયંકને બીજા એક નંબર પર સંપર્ક કરવા કહ્યું હતું. તે બાદ રાજુ નામનો બ્રોકર ગણાવતા વ્યક્તિએ એક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું. શરૂઆતમાં થોડું રોકાણ કરાવતા મયંકને નફો બતાવવામાં આવ્યો હતો, જેથી તેનો વિશ્વાસ વધ્યો હતો. મયંકે કુલ 1.27 લાખનું રોકાણ કર્યું હતું. થોડા સમય પછી ગઠિયાઓએ મયંકને સ્ક્રીનશોટ મોકલી જણાવ્યું હતું કે, તેના ખાતામાં 9.25 લાખનો નફો થયો છે. પરંતુ જ્યારે મયંકે નફો પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું ત્યારે ગઠિયાઓ બહાના કરવા લાગ્યા. થોડા સમય બાદ તેમના ફોન પણ બંધ આવવા લાગ્યા, જેથી ફરિયાદીએ અજાણ્યા શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઠિયાએ પાડોશીના નામે 25 હજાર પડાવ્યાંમેમનગર વિસ્તારમાં રહેતા 73 વર્ષીય જગજીતરાય બગ્ગા માર્કેટમાં ઓફિસ ધરાવી વેપાર કરે છે. 15 ફેબ્રુઆરીના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને તેમના પાડોશી હેમંતભાઈ હોવાનું જણાવ્યું હતું. ગઠિયાએ ઇમરજન્સી હોવાનું કહી 25 હજારની જરૂર હોવાનું જણાવ્યું અને બીજા દિવસે પરત આપી દેવાની ખાતરી આપી હતી. ઓળખાણના વિશ્વાસે જગજીતરાય બગ્ગાએ આપેલા નંબર પર 25 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. પડોશી જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે પૈસા વિશે પૂછતા પાડોશીએ એવો કોઈ ફોન ન કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદીને ફ્રોડ થયું હોવાનું સામે આવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:59 pm

‘તેરા તુજ કો અર્પણ’:ગાંધીનગરના મોલમાં ભુલાયેલી સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને પરત કરી

કહેવાય છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પણ મુશ્કેલીના સમયે નાગરિકોની સાચી સાથી પણ બને છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઈન્ફોસિટી પોલીસની સતર્કતા અને પ્રામાણિકતાને કારણે એક યુવતીની કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ સુરક્ષિત રીતે પરત મળી છે. ગાંધીનગરના સરગાસણ સ્થિત સ્વાગત હોલીડે મોલમાં એક યુવતી પોતાની બેગ ભૂલી ગઈ હતી. આ અંગેની જાણ થતાં પીઆઈ. વી.આર. ખેરની ટીમે ત્વરિત તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની PCR ટીમ એક્શનમાં આવી હતી. ત્યારે બેગની તપાસ દરમિયાન ટીમને તેમાંથી માલિકનું આધારકાર્ડ મળી આવ્યું હતું. બેગમાં સોનાની બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીનું બ્રેસલેટ અને 2200 રૂપિયા રોકડા હતા. આ કાર્ડના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ મેળવી માલિકનો સંપર્ક સાધ્યો હતો. આ સમગ્ર તપાસમાં પો.કો. ચેહરાજી હેમતુજી હે.કો. વિક્રમસિંહ બલવંતસિંહએ પાયાની ભૂમિકા ભજવી હતી. તેમણે બેગમાં રહેલી તમામ વસ્તુઓની યોગ્ય ખાતરી કરી મૂળ માલિકને બોલાવી તમામ સામાન સુપરત કર્યો હતો. ત્યારે પોતાના કિંમતી ઘરેણાં પરત મેળવી માલિકે ગદગદિત થઈ પોલીસ જવાનોનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:48 pm

ગેસ વિતરણમાં પારદર્શકતા લાવવા AAPનું કલેક્ટરને આવેદનપત્ર:સંકટના સમયે વચેટીયાઓ જનતાના હકો ન ઝૂંટવે તે માટે 'રિયલ ટાઈમ' ઓનલાઈન ડેટા જાહેર કરવા અને હેલ્પલાઈન શરૂ કરવા માગ

વર્તમાન રાષ્ટ્રીય સંકટની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને પાયાની જરૂરિયાતો મેળવવામાં મુશ્કેલી ન પડે અને ગેસ વિતરણ જેવી આવશ્યક સેવાઓમાં ભ્રષ્ટાચાર કે કાળાબજારી ન થાય તે હેતુથી સુરત આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં આપના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પારદર્શકતા માટે રિયલ ટાઈમ ડેટાની માગઆમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સૌથી મહત્વની માંગણી ગેસ વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવાની છે. ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ગેસ એજન્સીઓને દરરોજ કેટલી બોટલોનો જથ્થો ફાળવવામાં આવે છે, તેમાંથી કેટલા બુકિંગ કન્ફર્મ થયા છે અને વાસ્તવમાં કેટલા ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યું છે, તેના આંકડા પળેપળ ઓનલાઈન અપડેટ થવા જોઈએ. પક્ષનું માનવું છે કે, જો આ માહિતી જાહેર જનતા માટે ઉપલબ્ધ હશે, તો એજન્સીઓ દ્વારા કરવામાં આવતી સંભવિત ગેરરીતિઓ પર લગામ લગાવી શકાશે. ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે સ્ટોક હોવા છતાં તેમને ના પાડી શકાય નહીં. ઇમરજન્સી હેલ્પલાઈન અને કડક દંડની જોગવાઈગેસ પુરવઠામાં ક્યાંય પણ વિસંગતતા જણાય અથવા કોઈ એજન્સી કે ડિલર દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય, તો તેની તાત્કાલિક ફરિયાદ કરવા માટે એક સમર્પિત ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ધર્મેશ ભંડેરીએ ચેતવણી આપતા કહ્યું કે, માત્ર હેલ્પલાઈન શરૂ કરવાથી ચાલશે નહીં, પરંતુ તેના પર આવતી ફરિયાદોનો નિકાલ 24 કલાકમાં થવો જોઈએ. જે લોકો રાષ્ટ્રીય સંકટના સમયે ગેસની કાળાબજારી કરી સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરે છે, તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને તેમને મસમોટો દંડ ફટકારીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. દિવ્યાંગો-વૃદ્ધોને લાઈનમાં ન ઉભવું પડે તેવી વ્યવસ્થા કરવા માગઆ આવેદનપત્રમાં માનવીય અભિગમ દાખવીને કેટલીક વિશેષ શ્રેણીઓ માટે પ્રાથમિકતા આપવાની રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલોમાં દર્દીઓના ભોજન અને અન્ય સેવાઓ માટે ગેસની અછત ન સર્જાય, તેમજ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને સદાવ્રતોમાં ગેસનો પુરવઠો અવિરત રહેવો જોઈએ. દિવ્યાંગ વ્યક્તિઓ, એકલા રહેતા વૃદ્ધો અને એકલી રહેતી મહિલાઓને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનોમાં ન ઊભા રહેવું પડે અથવા તેમને વિતરણમાં પ્રથમ પ્રાધાન્ય મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માગ કરાઈ છે. લાગવગ પણ બંધ કરાવવા માગધર્મેશ ભંડેરીએ પોતાના સંબોધનમાં ભૂતકાળના કડવા અનુભવોને યાદ કરતા સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે જોયું છે કે લાગવગ ધરાવતા લોકોને હોસ્પિટલના બેડ, ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી મળી જતા હતા, જ્યારે સામાન્ય લોકો રસ્તા પર દમ તોડી રહ્યા હતા. નોટબંધી સમયે પણ સામાન્ય માણસ લાઈનમાં ઉભો રહ્યો હતો અને લાગવગવાળા લોકો પાછલા બારણેથી નાણાં બદલાવી રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગેસ વિતરણમાં પણ આવી જ ભ્રષ્ટ પ્રથા ન સર્જાય તે જોવાની જવાબદારી તંત્રની છે. જો અત્યારથી જ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો વચેટીયાઓ અને મળતિયાઓ સક્રિય થઈ જશે અને ગરીબ માણસના ઘરનો ચૂલો સળગવો મુશ્કેલ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:46 pm

મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો:LCBએ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, ચોરાયેલો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો

ડાંગ જિલ્લાના આહવા વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ડાંગ-આહવાએ ઉકેલી લીધો છે. પોલીસે ચોરીમાં ગયેલા મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) દ્વારા અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. જી. અનડકટ અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમી મુજબ, આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલો એક શખ્સ ચોરીનો મોબાઈલ લઈને આહવા બસ સ્ટેશન ખાતે હાજર હતો. બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી. બસ સ્ટેશન નજીક બાતમી મુજબના વર્ણનવાળો શખ્સ દેખાતા તેને અટકાવી તપાસ કરાઈ. તેની પાસેથી ઓપ્પો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઈલ મળી આવ્યો. પૂછપરછમાં આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જયેશ સોનુભાઈ કુંવર (ઉંમર 36, રહે. ઝરણ ગામ, તા. સુબીર, જી. ડાંગ) જણાવ્યું. તેણે આહવા ટાઉન વિસ્તારમાં આવેલી ગ્રામિણ બેંકમાંથી મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસે આરોપી પાસેથી આશરે રૂપિયા 14,000ની કિંમતનો ઓપ્પો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઈલ કબજે કર્યો. તપાસમાં આ મોબાઈલ આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરી થયેલો હોવાની ખાતરી થઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપ્યો. આ સમગ્ર કામગીરી PSI જે.જી. અનડકટના માર્ગદર્શન હેઠળ ASI પ્રમોદભાઈ નીવર, ASI રમેશભાઈ પવાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ગામીત, દિનેશભાઈ ગાંગુડા સહિત LCBની ટીમે કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:40 pm

પાટણના 1.82 લાખથી વધુ ખેડૂતોને PM કિસાન સહાય મળી:જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો

આજે દેશભરમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટી (આસામ) ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9.32 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.18650 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી. આ પ્રસંગે યોજનાનો 22મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો. આ અવસરે પાટણ ખાતે ન્યુ શાકભાજી માર્કેટમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું ગુવાહાટીથી આપવામાં આવેલું સંબોધન તેમજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. રાજ્યમાં આ યોજના અંતર્ગત 49.59 લાખથી વધુ ખેડૂતોને રૂ.1028 કરોડથી વધુની સહાય 22મા હપ્તા તરીકે સીધી તેમના બેંક ખાતામાં જમા થનાર છે. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને રૂ.2000 લેખે કુલ રૂ.37.56 કરોડની સહાય DBT મારફતે તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાએ કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જિલ્લામાં કુલ 3,96,268 હેક્ટર ખેતીલાયક વિસ્તાર છે અને ખેડૂતોની મહેનત તેમજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના કારણે કૃષિ ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાટણ જિલ્લામાં આઇ-ખેડૂત પોર્ટલ હેઠળ કુલ 32,282 ખેડૂતોને રૂ.7857.03 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આ સહાયના કારણે ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો, મશીનરી તથા નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન મળ્યું છે. પ્રમુખે ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ હેતલબેન ઠાકોર તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:33 pm

શ્રમિક પરિવારની દીકરી સાથે ચોંકાવનારી ઘટના:14 વર્ષની સગીરાને પાંચ માસ સુધી ગર્ભનિરોધક ગોળી ખવડાવી ચાર સંતાનના પિતા એવા કાકાએ દુષ્કર્મ આચર્યું

રાજકોટ શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારમાં લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સંયુકત પરિવારમાં રહેતી 14 વર્ષની સગીરા પર ચાર સંતાનોના પિતા એવા નરાધમ કાકાએ ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી સગીરા પર સતત પાંચ માસ સુધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતા આધેડે બી ડીવીઝન પોલીસમાં તેના ભાઈ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સંયુકત પરિવારમાં રહે છે. તેના ભાઈની પત્ની છેલ્લા ઘણા સમયથી પોતાના ચાર સંતાનો સાથે રિસામણે હોવાથી શખસ એકલવાયું જીવન જીવતો હોવાથી નરાધમે પોતાની પુત્રી સમાન ભત્રીજી પર કુદ્રષ્ટિ રાખી સગીરાને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી પોતાની હવસ સંતોષતો હતો. સગીરાની માતા 15 દિવસ પૂર્વે અન્ય સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા અને તેના પિતા મજૂરી કામ અર્થે બહાર જાય ત્યારે આરોપી સગીરાને શિકાર બનાવી શોષણ કરતો હતો. સગીરા પાસેથી ગોળીઓ મળી આવતા તેની હાલની માતાએ પૂછતાછ કરતા આ ગોળીઓ તેના કાકાએ આપી હોવાનું કહ્યું હતું જેથી તેની પૂછતા પોતે કોઈ દવા ન આપી હોવાનું બહાનું બનાવ્યું હતું. દરમ્યાન સગીરાને પેટમાં દુખાવો ઉપડયો હોવાથી તબીબ પાસે તપાસ અર્થે દવાઓ લઈને જતા સમગ્ર હકકીત સામે આવી હતી. તબીબે જણાવ્યું હતું કે આ ગોળીઓ સગર્ભા બનતા અટકાવે છે અને માસિક જલ્દી આવે છે આનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં ઈન્ફેકશન થઈ ગયું હતું જેથી સગીરાને પૂછતા તેણીએ કહ્યું કે કાકા છેલ્લા પાંચેક માસથી આ ગોળીઓ પીવડાવી શરીર સંબંધ બાંધતા હોવાની અને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા બી ડિવિઝન પોલીસે પિતાની ફરિયાદ પરથી આરોપી સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:32 pm

તંત્ર કહે છે ‘સ્ટોક ફૂલ’, વેપારીઓએ કહ્યું ‘સિલિન્ડર ક્યાં છે?’:સુરતની 39 એજન્સીઓ પર પુરવઠા વિભાગના દરોડા, 5164 મેટ્રિક ટન જથ્થો હોવા છતાં અછત કેમ?

મધ્યપૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે. એકતરફ જિલ્લા પુરવઠા અધિકારી (DSO) દાવા કરી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી તરફ હોટલ સંચાલકો અને નાના વેપારીઓ ગેસ ન મળતા પાયમાલ થઈ રહ્યા છે. તંત્ર અને જનતા વચ્ચેના આ ‘કોન્ટ્રાડિક્શન’ને કારણે હાલ સુરતનું અર્થતંત્ર ગરમાયું છે. 5164 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ હોવાનો તંત્રનો દાવોસુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, સુરતમાં ગેસ પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી. HPCL, BPCL અને IOCL જેવી મુખ્ય ઓઈલ કંપનીઓ પાસે હાલમાં કુલ 5164 મેટ્રિક ટન (MT) ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. DSOના જણાવ્યા અનુસાર, ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને ‘પેનિક બુકિંગ’ ટાળી પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ મંગાવે. હોટલોના મેન્યુમાં 80% નો ઘટાડો, વેપારીઓ લાકડાના ચૂલે વળગ્યાસરકારી આંકડાઓ ભલે ગુલાબી ચિત્ર રજૂ કરતા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સુરતના અડાજણ, વરાછા અને રિંગ રોડ વિસ્તારની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ગેસ ન હોવાને કારણે મેન્યુમાં 80% સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. અનેક નાના વેપારીઓ હવે ગેસના અભાવે લાકડા અને કોલસાના ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે. કલાકો સુધી એજન્સીઓ પર ધક્કા ખાવા છતાં સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગ દ્વારા સઘન ચેકિંગગેસની કથિત અછત અને કાળાબજારની આશંકાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 20 અને શહેરના ઝોન વિસ્તારમાં 19 મળી કુલ 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે જો કંપનીઓ પાસે જથ્થો છે, તો તે ગ્રાહકો સુધી કેમ નથી પહોંચતો? શું કોઈ એજન્સી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે? તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. DSO અને SOG પોલીસ દ્વારા સચિન GIDCમાં લાઈવ વેરિફિકેશનસ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને SOGના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન GIDC સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. અહીં અધિકારીઓએ ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી. આ સાથે જ શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સમાં પણ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી હતી કે ત્યાં ગેસનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને મુશ્કેલી ક્યાં પડી રહી છે. મધ્યપૂર્વની સ્થિતિ અને રાજ્ય સરકારનું સતત મોનિટરિંગઆંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં ઉભી થયેલી અસ્થિરતાને કારણે ગેસના પુરવઠા પર અસર ન પડે તે માટે રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય અને સંબંધિત વિભાગો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સીધા સંપર્કમાં છે. સુરતમાં પણ તંત્ર દ્વારા સુચારૂ આયોજનના ભાગરૂપે ઓઈલ કંપનીઓ સાથે સમન્વય સાધવામાં આવ્યો છે, જેથી ઘરેલું અને કોમર્શિયલ ગેસનો સપ્લાય જળવાઈ રહે. ‘ધંધા બંધ કરવા જેવી નોબત આવી છે’કોમર્શિયલ ગેસના બાટલા ન મળવાને કારણે સુરતના લારી-ગલ્લા અને નાના ખાણી-પીણીના વેપારીઓની હાલત કફોડી બની છે. એક વેપારીએ જણાવ્યું કે, જો એક-બે દિવસમાં ગેસ નહીં મળે તો અમારે ધંધા બંધ કરવા પડશે. ગેસ એજન્સીઓ કહે છે કે પાછળથી માલ નથી આવતો, અને સરકાર કહે છે કે સ્ટોક ફૂલ છે. આમાં સાચું કોણ? આ અસમંજસને કારણે બજારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાર્યવાહીની ચીમકીDSO દર્શન શાહે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ એજન્સી કે વચેટિયાઓ દ્વારા ગેસના જથ્થાનો સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઊભી કરવામાં આવશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા હેલ્પલાઇન અને સતત પેટ્રોલિંગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગેસ સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવા માટે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:32 pm

પાટણ નગરપાલિકાની ટર્મ પૂર્ણ, કર્મચારીઓનું સન્માન કરાયું:શાસક પક્ષે 5 થી 15 વર્ષના સહયોગ બદલ કર્મચારીઓનો આભાર માન્યો

પાટણ નગરપાલિકાના શાસક પક્ષની ટર્મ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ ટર્મમાં ચૂંટાયેલા સભ્યોને વહીવટી કામગીરીમાં સહકાર આપવા બદલ આ કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન કાર્યક્રમમાં પાલિકાના એવા કર્મચારીઓનું બહુમાન કરાયું હતું જેમણે છેલ્લા 5, 10 અને 15 વર્ષથી નગરસેવકોને વહીવટી સ્તરે ઉત્કૃષ્ટ સાથ અને સહકાર પૂરો પાડ્યો હતો. નગરપાલિકાની કામગીરીને સુચારુ રીતે ચલાવવામાં કર્મચારીઓનો ફાળો મહત્વનો રહ્યો છે. પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પટેલે કર્મચારીઓના યોગદાનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, નગરસેવક તરીકેની વિવિધ ટર્મ દરમિયાન કર્મચારીઓએ કરેલી કામગીરી પ્રશંસનીય છે. તેમના સહયોગ વિના પાલિકાનું કાર્ય સુપેરે પાર પડી શક્યું ન હોત. ભારતીય જનતા પાર્ટીના તમામ નગરસેવકો અને નગરજનોએ સાથે મળીને પાલિકાના નાના-મોટા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નગરસેવકોએ આગામી સમયમાં પણ આ જ પ્રકારે નિષ્ઠાપૂર્વક કામગીરી ચાલુ રાખવાની અપેક્ષા વ્યક્ત કરી, જેથી પાટણ શહેરના વિકાસમાં તેમનો સહયોગ યથાવત રહે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:31 pm

ગઢડા પોલીસે અપહૃત સગીરાને શોધી કાઢી:દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ શરૂ

ગઢડા પોલીસે અપહરણ કરાયેલી સગીરાને તાત્કાલિક શોધી કાઢી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગઢડા તાલુકાના એક ગામમાં એક સગીરાને લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સગીરાના પરિવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ BNS 87, 137 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને અપહૃત સગીરાને શોધી કાઢી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:27 pm

ગાંધીનગરની કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા કાર્યશાળાઓ યોજાઈ:વિદ્યાર્થીઓમાં સ્વરોજગારી અને નવતર અભિગમ વિકસાવાયો

ગાંધીનગર સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારી પ્રત્યે પ્રેરણા જગાવવા માટે બે વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ની “રિસર્ચ, ઇનોવેશન એન્ડ એક્સટેન્શન ગ્રાન્ટ” યોજના અંતર્ગત કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે, 12 માર્ચ 2026ના રોજ, “પ્રાકૃતિક ખેતી – તકો અને પડકારો” વિષય પર માર્ગદર્શન અપાયું હતું. આ સત્રમાં કૃષિ ક્ષેત્રમાં પર્યાવરણમૈત્રી અભિગમ અને તેમાં રહેલી વ્યાવસાયિક સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બીજા દિવસે, 13 માર્ચ 2026ના રોજ, “બાગાયત શાસ્ત્ર – કાર્યક્ષેત્ર અને સંભાવનાઓ” વિષય પર ચર્ચા થઈ. વિદ્યાર્થીઓને હોર્ટિકલ્ચરના આધુનિક ટેકનિકલ પાસાઓ અને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીના અવસરો વિશે માહિતગાર કરાયા. આ બંને કાર્યશાળાઓમાં વનસ્પતિશાસ્ત્ર વિષયના 70થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દરેક સહભાગીને ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લિખિત “પ્રાકૃતિક કૃષિ” પુસ્તક ભેટરૂપે આપવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ડી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું. કોલેજના સંશોધન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. વાય.એમ. પટેલ, વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એસ.કે. પટેલ તેમજ વિભાગના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યશાળાઓ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને ફળદાયી સાબિત થઈ.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:25 pm

દોઢ લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ પેડલર ઝડપાયો.:​જૂનાગઢમાં મેડિકલ કોલેજ પાસે SOGનો સપાટો: 1.822 કિલો ગાંજા સાથે સમીર ઉર્ફે છોટું પઠાણની ધરપકડ, સેમસંગ S-25 અલ્ટ્રા મોબાઈલ સહિત 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત.

​જૂનાગઢ જિલ્લામાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જ એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પણ પોલીસે કરોડો રૂપિયાનો નશા યુક્ત પદાર્થ ઝડપી પાડ્યો હતો, ત્યારે ફરી એકવાર પોલીસની સતર્કતાને કારણે નશીલા પદાર્થોનું વેચાણ કરતું નેટવર્ક ઝડપાયું છે. શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવનની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે આદરેલી ઝુંબેશમાં પોલીસને આ મહત્વની કડી મળી છે. જુનાગઢ એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે મજેવડી દરવાજા પાસે વોચ ગોઠવી આ ઓપરેશન પાર પાડ્યું હતું. ​એસ.ઓ.જી.ના એએસઆઈ જીતેન્દ્રસિંહ ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે જમાલવાડી વિસ્તારનો સમીર ઉર્ફે છોટું ઈકબાલભાઈ પઠાણ ગાંજાનો જથ્થો લઈ વેચાણ કરવા માટે મજેવડી દરવાજાથી ભરડાવાવ જતા રોડ પર આવવાનો છે. આ બાતમીના આધારે પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે હૈદલશાપીરની દરગાહ સામેના ગ્રાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. રાત્રિના આઠેક વાગ્યાના સુમારે જ્યારે આરોપી મેડિકલ કોલેજ તરફથી શંકાસ્પદ થેલી સાથે આવતો જણાયો, ત્યારે પોલીસે તેને કોર્ડન કરી તલાશી લીધી હતી. જેમાં તેની પાસેથી 91,100 રૂપિયાની કિંમતનો 1.822 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. ​પોલીસે આરોપી સમીર પઠાણની ધરપકડ કરી તેની પાસેથી ગાંજા ઉપરાંત 50,000 રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો એસ-25 અલ્ટ્રા એન્ડ્રોઈડ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ 1,41,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા છે. જેમાં 'ભુરા' નામનો શખ્સ અને તેની સાથે સ્વિફ્ટ કારમાં આવેલો એક અજાણ્યો માણસ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ત્રણેય વિરુદ્ધ જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપી સમીર અગાઉ પણ નશીલા પદાર્થોના વેચાણના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. ​જૂનાગઢમાં ડ્રગ્સના દૂષણને રોકવા માટે પીએસઆઈ ડી.કે. સરવૈયા સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લા પોલીસ દ્વારા આ તકે તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા જીવલેણ નશીલા પદાર્થોથી દૂર રહે અને સમાજને ડ્રગ્સ મુક્ત બનાવવામાં સહયોગ આપે. પકડાયેલ આરોપી હવે જેલના સળિયા ગણશે અને બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:24 pm

ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી વાહનોની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 ગુના ઉકેલ્યા, 10 બાઇક અને બોલેરો કાર જપ્ત

બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી ચોરી થયેલી 10 મોટરસાયકલ અને એક બોલેરો કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 4.13 લાખ રૂપિયા આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આ માટે અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના વડપણ હેઠળ LCB અને ટેકનિકલ વિભાગની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ હ્યુમન સોર્સ, ટેકનિકલ લીડ, નેત્રમ ટીમ દ્વારા મળેલી માહિતી અને 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે નરેશ ઉર્ફ નરશા દિતારામ ખેર (રહે. મહુડી, તા. કોટડા, જિ. ઉદેપુર, રાજસ્થાન), કિરણસિંહ દિનેશસિંહ વાઘેલા (રહે. ખીમાણા, તા. શિહોરી, જિ. બનાસકાંઠા) અને મોતી ગણેશભાઈ રબારી (રહે. ભવાનગઢ, તા. દાંતા, જિ. બનાસકાંઠા)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2.13 લાખ રૂપિયાની 10 મોટરસાયકલ અને 2 લાખ રૂપિયાની એક બોલેરો ફોર વ્હીલ ગાડી મળી કુલ 4.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓની ગુના આચરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) મુજબ, તેઓ હેન્ડલ લોક વગરના વાહનોને નિશાન બનાવતા હતા. તેઓ ડુપ્લીકેટ ચાવીઓનો ઉપયોગ કરીને પાર્ક કરેલા વાહનોના લોક ખોલીને ચોરી કરતા હતા અને પછી ચોરાયેલા વાહનોને તેમના રહેણાંક વિસ્તારોમાં લઈ જતા હતા. આ ગુનામાં સંડોવાયેલ અંપિલાલ લખમાજી (રહે. ભિયાતા, તા. કોટડા, જિ. ઉદેપુર, રાજસ્થાન) હજુ ફરાર છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:24 pm

'શિક્ષણ મોડેલ'નો પ્રચાર કરનારા AAP પર આડકતરી રીતે સંઘવીનો પ્રહાર:'લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે, જ્યારે અમે બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ'

સુરતના ઉમરા ગામ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રાથમિક શાળા ક્રમાંક-3નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ડિજિટલ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. જોકે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે આ મંચ પરથી તેમણે રાજકીય નિશાન સાધવાનું પણ ચૂક્યું નહોતું. તેમણે શિક્ષણના મોડેલની વાતો કરનારા AAP પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતાં. હર્ષ સંઘવીએ 'શિક્ષણ મોડેલ'નો પ્રચાર કરનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો શિક્ષણની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ શિક્ષણના બજેટનો ઉપયોગ બીજા રાજ્યોમાં પોતાની તસવીરો સાથેની જાહેરાતો આપવામાં કરે છે. ભૂતકાળમાં જે પક્ષ પર શિક્ષણના નામે વિજ્ઞાપનો પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના આક્ષેપો થયા છે, તેમને આડેહાથ લેતા સંઘવીએ કહ્યું કે, અમારો અભિગમ પ્રચારનો નહીં પણ પરિણામનો છે. 'શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે'નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આખા દેશમાં શિક્ષણની વાતો કરવાવાળા લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે. જ્યારે અમે એ જ ખર્ચ બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ. તેમણે ઉમેર્યું કે, ભાજપ શાસિત મહાનગરપાલિકા એ સુનિશ્ચિત કરે છે કે ટેક્સના પૈસાનો એક-એક રૂપિયો વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ. સ્પોર્ટ્સવેર અને શૂઝ આપતું દેશનું એકમાત્ર શહેરસુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા હર્ષ સંઘવીએ ગર્વભેર જણાવ્યું હતું કે, આખા દેશમાં આપણું શહેર કદાચ એકમાત્ર એવું છે જ્યાં સરકારી શાળાના બાળકોને માત્ર ડ્રેસ જ નહીં, પણ પીટી અને રમતગમત માટે સ્પેશિયલ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપવામાં આવે છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ એ છે કે ગરીબ કે મધ્યમ વર્ગના બાળકને ખાનગી શાળા જેવો જ અનુભવ મળે અને તેનામાં લઘુતાગ્રંથિ ન આવે. વાલીઓ પર આર્થિક બોજ ઘટાડવા પર ભારશિક્ષણના વ્યાપારીકરણ અને મોંઘી સ્ટેશનરીના જમાનામાં સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, બાળકના માતા-પિતાને શિક્ષણનો કોઈ વધારાનો આર્થિક બોજ ન વેઠવો પડે તેની તકેદારી અમે રાખીએ છીએ. સ્કૂલ બેગથી લઈને સ્ટેશનરી અને પુસ્તકો સુધીની તમામ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જ્યારે અન્ય લોકો માત્ર 'ફ્રી' ની વાતો કરે છે, ત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ ઉભી કરીને વાલીઓનો વિશ્વાસ જીત્યો છે. ડિજિટલ શિક્ષણ અને પૌષ્ટિક આહારની જુગલબંદીઉમરાની આ નવી શાળામાં ડિજિટલ બોર્ડની વ્યવસ્થા અંગે વાત કરતા સંઘવીએ જણાવ્યું કે, ટેકનોલોજી હવે માત્ર ખાનગી શાળાઓની જાગીર નથી રહી. સરકારી શાળાના બાળકો પણ હવે ડિજિટલ માધ્યમથી ભણી રહ્યા છે. આ સાથે જ મધ્યાહ્ન ભોજન દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર મળે તેવી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય બંનેના સંગમથી જ એક સક્ષમ નાગરિક તૈયાર થઈ શકે છે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:21 pm