ચૂંટણી ટાણે ભાવનગરનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાએ સત્તાધારી પક્ષને આંચકો અને કોંગ્રેસને મોટી રાહત આપી છે ભાવનગર કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને 'ખોટી' અને 'રાજકીય પ્રેરિત' ગણાવી હાઈકોર્ટે કાયદાકીય કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી સામા પક્ષને નોટિસ ફટકારી છે, શું છે સમગ્ર મામલો? જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી રહ્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે તેમ છતાં, આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે, આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલાએ જણાવ્યું હતું કે, આ આદેશને ન્યાયની જીત ગણાવતા કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ છે, હું ન તો ડર્યો છું, ન તો ઝૂક્યો છું. વરિષ્ઠ વકીલની ધારદાર રજૂઆત અને શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ કાનૂની સફળતાથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,હાઈકોર્ટના ચુકાદા શહેર પ્રમુખ લાલભા ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમના પર કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી અને હાસ્યાસ્પદ હતી. તેમણે ઉમેર્યું કે, ચૂંટણીના વ્યસ્ત સમયમાં મને બે-ત્રણ કલાક સુધી બેસાડી રાખીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હું ડર્યો નથી કે મેં કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી. તેમણે આ કાનૂની લડાઈમાં સાથ આપવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જેમણે હાઈકોર્ટમાં ત્વરિત અને અસરકારક કાનૂની કાર્યવાહી કરી તથા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાંસદ જેમણે આ મામલે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે, સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસનો એક પણ કાર્યકર આવી ધમકીઓથી ડરશે નહીં કે ઝૂકશે નહીં. તમામ કાર્યકરો પક્ષ અને ઉમેદવારોના પ્રચારનું કામ નિડરતાથી ચાલુ રાખશે.
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા બે પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે બંને શખસોને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામની સીમમાં જિલ્લા SOG ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, બે વ્યક્તિઓ ગેરકાયદે અગ્નિશસ્ત્ર લઈને કુરાલીથી ગણપતપુરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ માહિતીના આધારે SOG ટીમે બે શખસોને તેમને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ મોબીનભાઈ મતાભાઈ સિંધી (મૂળ રહેઠાણ: બામનોર, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન; હાલ રહે. ધાવટ ગામ, તા. કરજણ) અને અમીનભાઈ હકીમભાઈ ગજુ (સિંધી) (મૂળ રહેઠાણ: ધાકોકાતલા, નવા તલા, રાઠોડા, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન; હાલ રહે. ઉતરાજ, કિરણ બાપુના કુવા ઉપર, તા. શિનોર) તરીકે થઈ છે. બંને આરોપીઓ પાસેથી એક દેશી હાથબનાવટનો તમંચો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે તમંચો કોની પાસેથી મેળવ્યો હતો અને તેનો શું ઉદ્દેશ્ય હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી1000થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત માટે મંદિરમાં જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. લાઇવ આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો નજારો માણ્યો આટલી વિશાળ સંખ્યામાં પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ LED સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો, જેને જોઈને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પ્રસાદ અને આતિથ્યભક્તોના આ આધ્યાત્મિક પ્રવાસને યાદગાર બનાવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌ ભક્તોને પ્રસાદ, લઘુયજ્ઞ કીટ અને સોમગંગા નિર્માલ્ય જળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસીય આધ્યાત્મિક પ્રવાસઆ 1000થી વધુ ભક્તો સોમનાથ તીર્થમાં ત્રણ દિવસ રોકાશે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિરના ભવ્ય ઈતિહાસ વિષે જાણકારી મેળવશે. આ ઉપરાંત, ભક્તો ભાલકા તીર્થ, રામ મંદિર, ગોલોકધામ તીર્થ અને ત્રિવેણી સંગમ સહિતના અન્ય પવિત્ર સ્થાનોની પણ મુલાકાત લેશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને આતિથ્ય માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
હિંમતનગર તાલુકાના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓવરબ્રીજના સર્વિસ રોડ પર મગફળી ભરેલો એક ઓવરલોડ ટ્રક અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. ટ્રકમાં મગફળીની બોરીઓ ઓવરલોડ ભરેલી હોવાને કારણે તે ઉપરથી પસાર થતાં વીજળીના તારને અડકી હતી. વીજ તાર મગફળીની બોરીઓને અડકતાં તણખા ઉડ્યા હતા, જેના કારણે થોડી જ વારમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ દરમિયાન, પાછળથી આવતો બીજો ઓવરલોડ ટ્રક સમયસર રોકાઈ જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ટ્રક ચાલક અને વેપારીની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકમાં ભરેલી મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે અને વીજ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને ટ્રક ચાલક અને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.
ખાનગી કંપનીના ડેટા ચોરીનો મામલો:આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી
મહેસાણા ખાતે સાઈ ફિલ્ડ સર્વિસ પ્રા.લિમિટેડ કંપનીના ડેટા અને સોફ્ટવેર સહિત માહિતીની ચોરી કરી કંપનીના કર્મચારી દ્વારા બુકાકા એન્ડ ગેસ પ્રા.લિમિટેડ કંપનીને પહોચતી કરી હોવાની તાજેતરમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેલમાં બંધ આરોપીએ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. જેલમાં બંધ આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતીવિસનગરના પાલડી ગામના અમિત વિરસંગભાઈ ચૌધરી મહેસાણા સ્થિત સાઈ ફિલ્ડ સર્વિસ પ્રા. લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો.તે દરમિયાન 22 જાન્યુઆરી 2026 થી ફેબ્રુ 2026 દરમિયાનના કંપનીના ડેટા અને સોફ્ટવેર સહિત માહિતીની ચોરી કરી બુકાકા એન્ડ ગેસ પ્રા.લિમિટેડ કંપનીને પહોચતી કરી હતી. આ બાબતની તાજેતરમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી. આ કેસમાં જેલમાં બંધ આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સદર જામીન અરજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલો આધારે સેશન્સ કોર્ટ જજ એ.એલ. વ્યાસે આ ગુનાના આરોપી અમિત વિરસંગભાઈ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.
રાજ્યમાં વધતા તાપમાન અને હીટવેવના ગંભીર પ્રકોપ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તમામ જિલ્લા તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોને તેનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે. વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં ગરમી સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે, નહીં તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બપોરે 12 થી 4 બહાર ન નીકળવા સલાહગરમીથી બચવા માટે નાગરિકોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા, બહાર જવું જરૂરી હોય તો માથું ઢાંકી રાખવા, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી વધુ પ્રમાણમાં પીવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વધારાની કાળજી રાખવા ભાર મૂકાયો છે. જો ચક્કર આવવું, માથાનો દુખાવો, વધુ તરસ કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર, દવાનો પૂરતો જથ્થો રાખવા તાકીદઆરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા માટે મજબૂત તૈયારી પણ શરૂ કરી દીધી છે. 1 માર્ચ 2026થી IHIP પ્લેટફોર્મ દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ અમલમાં મુકાયો છે. હોસ્પિટલોમાં દવાઓ, ORS, IV ફ્લુઈડ્સ અને આઈસ પેકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 5 બેડ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 2 બેડના ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર રાખવામાં આવ્યા છે. ઉનાળામાં વધતા વીજ વપરાશને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં ઇલેક્ટ્રિક લોડ ઓડિટ, અગ્નિ સુરક્ષા અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ગરમીને હળવાશથી ન લેતા સાવચેતી રાખે અને માર્ગદર્શિકાનું પાલન કરીને પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખે.
વડોદરા શહેરમાં “નશામુક્ત વડોદરા” અભિયાન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે શહેર SOG કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ખાતે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ અને દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા તેમજ નાર્કોટિક્સ સંબંધિત કેસોમાં વધારો કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મેડિકલ અને ફાર્માસ્યુટિકલ દુકાનોમાં ચેકિંગ વધારવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે શહેર એસ.ઓ.જી. પીઆઇ બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ પર ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન વાડી વિસ્તારમાં આર.વી. દેસાઈ રોડ પર આવેલા “પ્રતાપનગર મેડિકલ” સ્ટોર પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા મેડિકલ સ્ટોરમાંથી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કફ સીરપ અને અન્ય દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વિવિધ પ્રકારની નશાયુક્ત કફ સીરપ અને ગોળીઓ મળી આવી હતી. આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્ટોક રજીસ્ટર ચકાસતા કોઈપણ પ્રકારનો રજીસ્ટર જાળવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ સખત કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, આ વખતે દૃશ્યો કંઈક અલગ જ છે. શહેરના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ ઝોનમાં પ્રચાર માટે નીકળેલા ભાજપ, કોંગ્રેસ અને 'આપ'ના ઉમેદવારોને મતદારોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી રહ્યા છે. ખાસ કરીને શાસક પક્ષ ભાજપ સામે લોકોમાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે. લોકોએ ફરિયાદો છોડીને ઉમેદવારોને ઘેરવાનું શરુ કરી દીધુ હતુંસુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પરંપરાગત પ્રચારના બદલે 'વિરોધનો પ્રચાર' વધુ જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં સ્થિતિ સરખી જ છે. લોકોએ હવે માત્ર ફરિયાદો કરવાનું છોડીને સીધા ઉમેદવારોને ઘેરવાનું શરૂ કર્યું છે. રસ્તા, ગટર, પાણી અને સરકારી શાળાઓ જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં વર્ષોથી જમા થયેલો ગુસ્સો હવે ચૂંટણી સમયે બહાર આવી રહ્યો છે. શાસક પક્ષ સામે વિરોધનું પ્રમાણ સૌથી વધુ છે, જ્યારે કોંગ્રેસને તેની નિષ્ક્રિયતા બદલ અને આપને આંતરિક જૂથવાદ માટે સાંભળવું પડી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ જે રીતે આગળ વધી રહ્યો છે, તેને આ 4 સ્ટેપમાં સમજી શકાય છે: ભાજપના ઉમેદવારોની ફજેતીપાંડેસરા-ભેસ્તાન વિસ્તારના વોર્ડ-28માં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદ પટેલ જ્યારે કૈલાશનગરમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક રહીશ મનીષે વીડિયો બનાવતા આક્ષેપ કર્યો હતો કે, આ ચોર લોકો વોટની ભીખ માંગતા આવ્યા છે. પાણી ભરાવાની સમસ્યા અને ગેરકાયદે બાંધકામોની ફરિયાદો છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ નેતાઓને ખખડાવ્યા હતા. એેવી જ રીતે વોર્ડ-11 (અડાજણ-ગોરાટ) માં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાની ગાડી પર નંબર પ્લેટ ન હોવાથી અને 'ગાર્ડન' લખેલું હોવાથી લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ પૂછ્યું કે જો સામાન્ય જનતા આવી ભૂલ કરે તો પોલીસ 'આતંકવાદી' જેવો વ્યવહાર કરે છે, તો નેતાઓ માટે કાયદો અલગ કેમ? કોંગ્રેસ સામે મહિલાઓનો આક્રોશવોર્ડ-18 (લિંબાયત-પરવટ-કુંભારીયા) ના માધવબાગ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોને આશા હતી કે ભાજપના વિરોધનો તેમને લાભ મળશે. જોકે, ત્યાંની મહિલાઓએ કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. મહિલાઓએ સવાલ કર્યો કે, 35 વર્ષથી ભાજપ સત્તા પર છે છતાં કશું કરી શકી નથી, તો તમે વિપક્ષમાં રહીને શું કર્યું? હવે તમે આવીને કયો મોટો ફેરફાર કરી દેશો? આ ઘટનાએ વિપક્ષની મજબૂતી પર સવાલો ઉભા કર્યા છે. ટિકિટ ફાળવણી અને જ્ઞાતિવાદનો ભડકોસુરતના રાજકારણમાં જ્ઞાતિવાદ હંમેશા મહત્વનો રહ્યો છે. વોર્ડ-10 (અડાજણ-પાલ-ઇચ્છાપોર) માં ભાજપના સમર્પિત મતદાર ગણાતા કોળી પટેલ અને કણબી સમાજમાં ભડકો થયો છે. અહીં સ્થાનિક કાર્યકરોની ઉપેક્ષા કરી બહારના મીનાક્ષી પાપૈયાને ટિકિટ અપાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ, અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી સમાજે પણ બેઠક યોજીને ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સમાજનો આક્ષેપ છે કે વર્ષોથી ભાજપની પડખે રહેવા છતાં તેમને કોઈ રાજકીય પ્રતિનિધિત્વ કે મહત્વ આપવામાં આવતું નથી. કોટ વિસ્તારમાં કોરોના ના હિસાબ માંગતી જનતાવોર્ડ-13 (વાડીફળીયા-નવાપુરા) ના લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ સણસણતો સવાલ કર્યો કે, કોરોના અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં જ્યારે અમે મરતા હતા ત્યારે તમે ક્યાં હતા? હવે કયા મોઢે મત માંગવા આવ્યા છો? લોકોએ તેમને સમાજની તકલીફમાં ઉભા ન રહેવા બદલ પ્રચાર કરતા અટકાવી દીધા હતા. વરાછા અને કતારગામ જેવા ગઢમાં જ ગાબડાં પડ્યાસૌરાષ્ટ્રવાસીઓના ગઢ ગણાતા વરાછા અને કતારગામમાં પણ સ્થિતિ નાજુક છે. વોર્ડ-3 માં 'પાસ' ના પૂર્વ નેતા અને હવે ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરીયાનો ઉગ્ર વિરોધ થયો હતો. રસ્તાના પ્રશ્નો પૂછતી મહિલાઓ સામે નેતાઓએ વીડિયો ઉતારવાનો ઇનકાર કરતા મામલો વધુ બિચક્યો હતો. કતારગામના વોર્ડ-7માં ભાજપના રઘુ ખુંટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રહીશોએ વીડિયો વાયરલ કર્યા હતા. જ્યારે વોર્ડ-19 માં પૂર્વ ટીપી કમિટી ચેરમેન નાગર પટેલને સી.સી. રોડના પ્રશ્ને લોકોએ ઉધડો લીધો હતો. 2011માં 96 લાખ ભર્યા છતાં સ્થાનિકોને પાણીના ફાંફાંસૌથી મોટો વિરોધ વેસુની 'આશીર્વાદ વિલા' સોસાયટીમાં જોવા મળ્યો છે. વોર્ડ-22 ના આ રહીશોએ 2011 માં 96 લાખ રૂપિયા ભર્યા હોવા છતાં આજે પણ તેમને પાણીની સુવિધા મળી નથી. ટી.પી. સ્કીમમાં ફેરફાર કરી સોસાયટીના મંજૂર રોડ ખાનગી પ્લોટમાં ફેરવી દેવાતા 2500 રહીશોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કર્યો છે અને પ્રચાર માટે આવતા ભાજપના નેતાઓને સોસાયટીમાંથી બહાર કાઢી મૂક્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા 'આપ'નું અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યું છે. અગમ ચૂંટણીમાં રાજકોટ મહાનગર પાલિકામાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અધિકાર સાથે રાજકોટને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવવા જાહેરાત કરી છે જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સ્પોટેશન, અને રમતગમત ક્ષેત્ર સહીત અલગ અલગ 9 મુદાઓને આવરી લઇ આ અધિકાર પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જો મનપામાં આપ ની સરકાર બનશે તો જાહેર કરેલ અધિકાર પત્ર દરેક પદાધિકારીની ચેમ્બર, તેમજ વોર્ડ ઓફિસમાં લેમિનેટ કરાવીને રાખીશું જેથી જનતા પોતાના અધિકાર અંગે જાણી શકે અને કેટલા કામો થયા કેટલા બાકીનો હિસાબ મેળવી શકે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના મંત્રી અજિત લોખીલએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજ રોજ આમ આ પાર્ટી દ્વારા અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે. મનપામાં અમારૂ શાસન આવશે તો અમે જનતાને તેમના અધિકારો માટેનું શાસન પૂરું પાડીશું આ માટે મુખ્ય 9 મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સ્પોટેશન, અને રમતગમત ક્ષેત્ર સહીતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. શું છે અધિકાર પત્રના મુખ્ય મુદ્દાઓ અધિકાર નં. 1 શિક્ષણ • પ્રત્યેક વોર્ડમાં વસ્તી પ્રમાણે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉભી કરીશું. રાજકોટમાં જે શાળાઓ જર્જરીત છે તેનું નવિનીકરણ કરીશું. • રાજકોટમાં સારામાં સારી સરકારી કોલેજો ઉભી થાય એ માટેના ઈમાનદાર પ્રયત્નો કરીશું. • પ્રત્યેક વોર્ડમાં E-Books સાથેના જાહેર વાંચનાલયો ઉભા કરીશું જેમાં પુસ્તકો, સામયિકો, કોમ્પ્યુટર વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય. અધિકાર નં. 2 આરોગ્ય• રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વસવાટ કરતા તમામ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપીશું, જે અંતર્ગત કોઈ પણ પ્રકારની વધારાની શરતો વગર કોઈ પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં તમામ બીમારીઓની સારવાર કરવામાં આવશે. • મહોલ્લા ક્લિનિકની જેમ જ રાજકોટમાં Clinic On Wheelની સુવિધા શરુ કરીશું જેમાં એક મોટા વાહનની અંદર સામાન્ય કક્ષાની બીમારીઓની તપાસ માટેની તમામ સુવિધાઓ, દવાઓ અને ડોક્ટર ઉપલબ્ધ હશે. દરેક ઝોનમાં પ્રાથમિક કક્ષાના તમામ ટેસ્ટ, સોનોગ્રાફી, એક્સ-રે વગેરે સુવિધાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરાવીશું. • ભેળસેળયુક્ત ખોરાકને સુનિશ્ચિત કરવા માટે ખાધપદાર્થોના ટેસ્ટીંગ માટે દરેક ઝોન દીઠ ફૂડ ટેસ્ટીંગ લેબ બનાવીશું. • ડ્રગ્સ લેવા માટે હોટસ્પોટ બનેલા ડાર્ક ઝોનને લાઈટ અને CCTV કેમેરાથી સજ્જ કરીશું અને ડ્રગ્સને સંપૂર્ણપણે નાબુદ કરવા માટેના તમામે તમામ પ્રયત્નો કરીશું. અધિકાર નં. 3 વેરાઓ• ઘર વેરો અડધો કરીશું, પાણી વેરો માફ કરીશું. તમામ પ્રકારના વેરાઓની નવેસરથી સમીક્ષા કરીશું. • પાણીના સમયમાં હાલના સમય કરતાં વધારો કરીશું અને પુરા ફોર્સથી પાણી આપીશું. • ભાડે આપેલી પ્રોપટીનો ટેકસ ઓછો કરીશું. અધિકાર નં. 4 પાર્કિંગ અને જાહેર પરિવડન • રાજકોટ શહેરમાં રોડ રસ્તા અને ફુટપાથની ગુણવતામાં સુધારો કરીને ટ્રાફીકની મહાકાય સમસ્યાનું નિરાકરણ કરીશુ. • મહિલાઓ, વિધાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે સીંટી બસમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરીશું. • વધુમાં વધુ જાહેર પાર્કિંગ ઉભા કરીશું અને બ્રીજ નીચે બનેલા પાર્કિંગમાં વાહન મુકવાનો કોઈ ચાર્જ વસુલ કરીશું નહીં. • વધુમાં વધુ રીક્ષા સ્ટેન્ડ બનાવીશું અધિકાર નં. 5 પર્યાવરણ • શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તો આ વિસ્તારોમાં પાણીના નિકાલ અને જળ સંચયની યોગ્ય વ્યવસ્થા ઉભી કરીશું. • વૃક્ષોની સંખ્યા બમણી કરીશું. • કચરાને રીસાયકલીંમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ખાતર તથા ગેસમાં રૂપાંતર કરીને આર.એમ.સી.ની આવકમાં વધારો કરીશુ. અધિકાર નં. 6 સંસ્કૃતિ અને રમતગમત • શહેરીકરણને કારણે ઉભા થયેલા માનસિક તણાવ/થાક દૂર કરી ફરી બીજા દિવસ માટે મન પ્રકૃલ્લિત થાય તેવી પ્રવૃત્તિયઓ જેવી કે બાગબગીચા, હળવી કસરતો, લાફીંગ ક્લબ, વોકર્સ ક્લબ, સંગીતને પ્રોત્સાહન આપીશું. • સાંસ્કૃતિ/સામાજીક કાર્યો માટે આર.એમ.સી. સંચાલિત કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમના ચાર્જમાં મહતમ ઘટાડો કરીશું • રાજકોટના મૂર્ધન્ય કવિઓ, સાહિત્યકારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિઓ અને વારસો જળવાય એ માટેની વ્યવસ્થાઓ ઉભી કરીશું. • યુવતીઓ માટે દરેક ઝોનમાં અલગ મહિલા સ્પોર્ટ્સ સંકુલો ઉભા કરીશું. • રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ એકેડેમી ઉભી થાય એ માટેના પ્રયત્નો કરીશું. અધિકાર નં. 7 જનસુવિધાઓ • નગરરાજ બીલ લાગુ કરીને રાજકોટનું બજેટ રાજકોટના નાગરિકોની જરૂરીયાત મુજબ રાજકોટનીશેરીઓમાં બનાવીશું. • પ્રત્યેક વોર્ડમાં એક-એક વોર્ડ ઓફીસ ઉભી કરીને સુવિધાઓનું વિકેન્દ્રીકરણ કરીશું જેથી કરીને લોકોને નજીકમાં જ તેમજ ઝડપથી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે. વોર્ડ ઓફીસ પર નક્કી કરેલા સમયે કોર્પોરેટરો હાજર રહીને લોકોની સમસ્યાઓને સાંભળશે. મહાનગરપાલિકાનો વહીવટ પક્ષની ઓફિસેથી નહી પણ વોર્ડની ઓફિસેથી થશે. • સાંસ્કૃતિક / સામાજીક કાર્યો માટે આર.એમ.સી. સંચાલીત કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમનાં ચાર્જમાં મહતમ ઘટાડો કરીશુ. • રાજકોટના ઘરવિહોણા લોકોની સંખ્યાનું મૂલ્યાંકન કરીને ખરેખર જરૂરીયાતમંદ લોકોને પરવડે એ ભાવે આવાસમાં ઘર ઉપલબ્ધ કરાવીશું. • ઈમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોય તો એનો સર્વે કરીને એને COR આપીશું. અધિકાર નં. 8 ભ્રષ્ટાચાર મુક્તિ અને પારદર્શિતા • ટેન્ડર અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવીશું. • ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી સામાન્ય સભાનું લાઇવ ટેલીકાસ્ટ કરીશું અધિકાર નં. 9 અન્ય • રખડતા પ્રાણીઓ માટે એનીમલ હોસ્ટેલ બનાવીશું જેથી કરીને પ્રાણીઓ અને નાગરિકો બંનેની સુવિધાઓ જળવાઈ શકે. અધિકારી એમને • લારી-ગલ્લાવાળાઓને અને ફેરિયાઓને ઓળખપત્ર આપીને એમને નિયમિત કરીશું, જેથી કોઈ પણ ખોટી રીતે હેરાન ન કરી શકે. સ્ટ્રીટ વેન્ડર્સ રેગ્યુલેશન કાયદાનું ચુસ્ત અમલીકરણ કરાવીશું. • રાજકોટ મહાનગરપાલિકા સાથે કામ કરતાં તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યુનત્તમ વેતન અપાવીશું • ફાયર વિભાગની ખાલી જગ્યાઓ ભરીશું, સાધનોની પૂર્તિ કરીશું તેમજ NOCની વ્યવસ્થા વધુ સારી બનાવીશું. • રાજકોટની જરૂરિયાત પ્રમાણેની યોજનાઓ બનાવીશું. આયાતી યોજનાઓ નહી બનાવીએ.
આગામી તારીખ 26/04/26ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે, ચૂંટણી પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો સુગમતાપૂર્વક ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતાપાલિકાની ચૂંટણીમાં કર્મચારીઓએ અગાઉથી ટપાલ દ્વારા મતદાન કરવા માટે અરજી કરી હતી અને જેમને નિયત પ્રક્રિયા મુજબ ઘરના સરનામે મતપત્ર પ્રાપ્ત થયા હતા એવા કર્મચારીઓ માટે આજ રોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ ફેસિલિટેશન સેન્ટરો ખાતે સવારે 9થી સાંજે 6 કલાક સુધી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. વહીવટી સરળતા અને સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે વોર્ડ નંબર 1થી 12 ના કર્મચારીઓ માટે પોલીસ તાલીમ કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને વોર્ડ નંબર 12થી 19ના કર્મચારીઓ માટે આંગણવાડી કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી ફરજ જેવી મહત્વની કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓએ આ સુવિધાનો મહત્તમ લાભ લઈ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાના લાભ થકી કર્મચારીઓ ફરજની સાથે સાથે લોકશાહીના પર્વમાં પણ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
દક્ષિણ ગુજરાતમાં ઉનાળો હવે આકરો મિજાજ દેખાડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. વધતા તાપમાનને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. સિવિલમાં ખાસ 'હીટવેવ વોર્ડ' તૈયાર, સ્ટાફને અપાઈ ટ્રેનિંગદક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, હીટવેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની ઈમરજન્સી સુવિધાઓ સજ્જ છે. દર્દીઓની સુવિધા માટે OPD અને ઈમરજન્સી વિભાગમાં 15થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. ચૂંટણીના માહોલ પર ગરમીનું ગ્રહણઆગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ હીટવેવની અસર રાજકીય ગરમાવા પર પણ પડી શકે છે. બપોરના સમયે પ્રચાર પ્રસારમાં મુશ્કેલી પડી શકે છે અને મતદાનના દિવસે પણ ગરમીને કારણે ટર્નઆઉટ પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બપોરે 12 થી 3 'નો ગો ઝોન': બાળકો-વૃદ્ધો ખાસ સાચવેડોક્ટરોના મતે બપોરે 12 થી 3 દરમિયાન સૂર્યના કિરણો સીધા અને આકરા હોવાથી લૂ લાગવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મૂકાયાસુરત સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી કરવામાં આવી છે, તે બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારે ત્યાં OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મુકવામાં આવ્યા છે. તદુપરાંત એક 10 બેડનો અલગ રૂમ અથવા વોર્ડ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જો કોઈ પેશન્ટ ઇન કેસ આવે, તો એના માટે ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળેલોકોને ખાસ કરીને જણાવવાનું કે, અત્યારે જે હીટવેવ છે જે 12:00 થી 3:00 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે એ એમના માટે સલાહભર્યું છે. તેમજ બીજા લોકો પણ ખાસ કંઈ કામ હોય તો જ બહાર નીકળે, અન્યથા આ સમય દરમિયાન નીકળવાનું ટાળે. અને જો ઇન કેસ નીકળવું પડે, તો માથે ટોપી પહેરે કે છત્રી રાખે કે એ રીતનું કંઈ પણ પ્રોટેક્શનની વ્યવસ્થા રાખે. તેમજ પોતાના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થાય એનું પૂરતું ધ્યાન આપે. જેથી કરીને પાણીથી લઈને છાસ કે કંઈ પણ પીણાં પીને, પોતાની રીતે લીંબુ શરબત, નારિયેળ પાણી, છાસ કંઈ પણ પીને બહાર નીકળે જેથી કરીને એને ડિહાઇડ્રેશનના થાય. હાઇડ્રેશનની પૂરતી કાળજી રાખોઆ હીટવેવમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન થવાને કારણે જ પ્રોબ્લેમ થતા હોય છે અને પેશન્ટ સિરિયસ થતા હોય છે. અધરવાઇઝ જો પોતાનું હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખવામાં આવે તો બહુ મુશ્કેલી પડતી હોતી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને મેં અગાઉ કીધું તેમ 12:00 થી 3:00 દરમિયાન બહાર ન નીકળે તો આ નિવારી શકાય, બચી શકાય હીટવેવથી.
મુળીમાં કોળી ઠાકોર સમાજનું સંમેલન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા અપીલ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન, મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર રાજુ કરપડા સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુળી તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્યો ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા સહિતના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારો તેમજ કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પોલીસ અશ્વદળનું એક વાન બોટાદથી સેથળી ગામ વચ્ચે પલટી ખાઈ ગયું હતું, જેમાં કેટલાક ઘોડાઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ વાન મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે સાળંગપુર જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અશ્વદળનું વાન પસાર થઈ રહ્યું હતું ત્યારે બાજુમાંથી અન્ય એક વાહન પસાર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે રસ્તા પર વાન પલટી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી સાળંગપુર અને બોટાદના પ્રવાસે આવવાના છે, જેના બંદોબસ્ત માટે આ અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં યુવકની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હત્યારાઓ સામે કડક કાર્યવાહી અને હિન્દુ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. ગત તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ ધંધુકાના હિન્દુ યુવક ધર્મેશભાઈ ગમારા (ભરવાડ) ની અમુક તત્વો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યા છે. માલધારી સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ધંધુકામાં છેલ્લા દસ વર્ષમાં હિન્દુ યુવકોની હત્યાની આ પાંચમી ઘટના છે. અગાઉ કિશન ભરવાડની હત્યા બાદ ફરી આવી ક્રૂર ઘટના બનતા સમગ્ર સમાજમાં શોક અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. માલધારી સમાજના આગેવાનોએ રજૂઆત કરી છે કે, ધર્મેશ ભરવાડની હત્યાના આરોપીઓને કડક સજા, જેમાં આજીવન કેદ અથવા ફાંસીની સજાનો સમાવેશ થાય છે, તે ફટકારવામાં આવે. તેમણે હિન્દુઓની જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુજરાતમાં શાંતિ જાળવી રાખવા માટે સરકાર દાખલારૂપ પગલાં ભરે તેવી માંગ કરી છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આ રેલી ઝાડેશ્વર ગામ સ્થિત અંબાજી મંદિર ખાતેથી શરૂ થઈ હતી. આ બાઈક રેલી ઝાડેશ્વરના અંબાજી મંદિરથી પ્રસ્થાન કરીને કસક સર્કલ, શીતલ સર્કલ, ભૃગુઋષિ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચબત્તી અને મહમદપુરા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી જંબુસર બાયપાસ ચોકડી ખાતે સમાપ્ત થઈ હતી. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં બાઈક સવાર કાર્યકરો જોડાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. વિવિધ સ્થળોએ રેલીનું સ્વાગત પણ કરાયું હતું. રેલી દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપના ભ્રષ્ટાચારથી જનતા કંટાળી ગઈ છે. વસાવાએ દાવો કર્યો કે હવે લોકોને વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીમાં જનતા ભારે બહુમતથી 'આપ'ના ઉમેદવારોને વિજયી બનાવશે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ પરત ખેંચાવડાવી રાજ્યમાં આશરે 700 બેઠકો બિનહરીફ જીતવાનો પ્રયાસ કરાયો છે. ગણપત વસાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, વિધાનસભામાં ઉઠાવાયેલા કૌભાંડના મુદ્દાઓને કારણે ભાજપના નેતાઓ વારંવાર તેમના નામનો ઉલ્લેખ કરે છે. મણિપુર ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે ભાજપ પર મહિલાઓના મુદ્દે મૌન રહેવાનો આરોપ પણ મૂક્યો. અંતમાં, તેમણે ભાજપના નેતાઓને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંકતા જણાવ્યું કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બાઈક રેલીને લઈને ભરૂચ શહેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેને ચૂંટણી પહેલાના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે.
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ, આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026માં મહત્તમ મતદાન થાય તે હેતુથી એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચનું આયોજન કરીને નાગરિકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા. આ બાસ્કેટબોલ મેચમાં ભાગ લેનાર ખેલાડીઓ, તેમના વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહી પ્રક્રિયામાં વધુને વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલીયા અને બાસ્કેટબોલ કોચ સુનીલ ઠાકર દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
ગોધરાના રગડિયા પ્લોટમાં ૩ દિવસથી લો-વોલ્ટેજ:રહીશો પરેશાન, વીજ કેબલમાં આગ લાગી, કાયમી ઉકેલની માગ
ગોધરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજળીની સમસ્યા સર્જાઈ છે. શહેરના રગડિયા પ્લોટ અને હુદા મસ્જિદ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લો-વોલ્ટેજની ગંભીર સમસ્યાથી રહીશો પરેશાન છે. આના કારણે ઘરના ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા છે. ભર ઉનાળે તાપમાન ઊંચું હોવાથી પંખા અને કુલર ન ચાલતા વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓની હાલત કફોડી બની છે. સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે લોડ વધવા અથવા ટેકનિકલ ખામીને કારણે વીજ કેબલોમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ MGVCLની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મોડી રાત્રે વીજ કેબલ બદલવાની તેમજ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દર ઉનાળામાં આવી પરિસ્થિતિ સર્જાય છે. તેઓ કામચલાઉ રિપેરિંગને બદલે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. જો વહેલી તકે વીજ ક્ષમતા વધારવામાં નહીં આવે અથવા નવું ટ્રાન્સફોર્મર મૂકવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં લોકોમાં રોષ ફાટી નીકળવાની શક્યતા છે.
જૂનાગઢના ગિરનાર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તેની સાથે જ સિંહોની પજવણીના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બિલખા રોડ અને ભવનાથ ક્ષેત્રમાં સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચઢતા હોય છે. સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા વીડિયો વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહ્યા છે. એક તરફ વન વિભાગ સંખ્યા વધારાનો જશ લઈ રહ્યું છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર સિંહોની સુરક્ષા રામભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વન અધિકારીની ચોંકાવનારી કબૂલાત તાજેતરમાં વન વિભાગના અધિકારી (DCF) અક્ષય જોશીએ મીડિયા સમક્ષ વાત કરતા એક એવી કબૂલાત કરી છે જેણે વન્યજીવ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. તેમણે સ્વીકાર્યું હતું કે, દરરોજ રાત્રે અમારી એક ટીમ પેટ્રોલિંગ કરે છે અને પજવણી ન થાય તેનું ધ્યાન રાખે છે, પરંતુ આ સંભવ નથી કે દરેક સિંહનું મોનિટરિંગ અમે એ રીતે કરી શકીએ. અધિકારીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિશાળ વિસ્તારમાં ફેલાયેલા સિંહોની સુરક્ષા માટે વન વિભાગ પાસે પૂરતું સંસાધન કે આયોજન નથી. એટલું જ નહીં વન વિભાગ ના અધિકારીએ તો એ પણ કહ્યું કે જ્યારે જાગૃત નાગરિક કોલ કરે છે ત્યારે વન વિભાગના અધિકારી સ્થળ પર પહોંચે છે સિંહનું રેસ્ક્યુ કરે છે અને સલામત સ્થળે ખસેડે છે. બિલખા રોડ પર 'ગેરકાયદે સિંહ દર્શન'નો ખેલ ? સિંહ પ્રેમી જયદીપ ઓડેદરાએ વન વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, જૂનાગઢના બિલખા રોડ પર આવેલા ધરનગર ગેટથી ખડીયા સુધીનો વિસ્તાર સિંહોનો મુખ્ય કોરિડોર છે. રાત્રિના સમયે અહીં જાણે મેળો ભરાયો હોય તેટલી ભીડ જોવા મળે છે. આરોપ છે કે અહીં એક સુનિયોજિત સિસ્ટમ દ્વારા લોકોને ગેરકાયદે સિંહ દર્શન કરાવવામાં આવે છે. વન વિભાગની મિલીભગત હોય કે બેદરકારી, પણ અહીં સિંહોની પજવણી સામાન્ય બની ગઈ છે. જો આ પજવણીના કારણે કોઈ સિંહ માણસ પર હુમલો કરે, તો સિંહને આજીવન કેદ માટે એનિમલ કેર સેન્ટરમાં જવાનો વારો આવે છે, જે અન્યાયી છે. સંખ્યામાં 19 ગણો વધારો છતાં વ્યવસ્થા શૂન્યવન વિભાગના આંકડા મુજબ, વર્ષ 1990માં ગિરનાર વિસ્તારમાં માત્ર 4 સિંહો હતા, જે 2025ની ગણતરી મુજબ વધીને 54 થયા છે. સંખ્યામાં આ 19 ગણો વધારો ગર્વની વાત છે, પરંતુ તેની સામે સુરક્ષાના પગલાં ઠીંગણા સાબિત થઈ રહ્યા છે. ભવનાથ જેવા પ્રવાસન ક્ષેત્રમાં પણ રજાના દિવસે હજારોની ભીડ વચ્ચે સિંહો રોડ પર આવી જાય છે. થોડા સમય પહેલા જ પાંચ નાકા પુલ પાસે સિંહ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કાર સાથે અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો. સ્થાનિક સિંહ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે બિલખા રોડ અને ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે.સવાર અને સાંજના સમયે જ્યારે સિંહોની મૂવમેન્ટ વધુ હોય ત્યારે અનુભવી સ્ટાફ તૈનાત કરવામાં આવે.પજવણી કરનારા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.માત્ર આંકડાકીય માયાવી જાળ ફેલાવવાને બદલે સિંહોના કુદરતી નિવાસસ્થાનમાં તેમની શાંતિ જળવાય તેવા પ્રયાસો થાય. ત્યારે વન વિભાગના અધિકારીએ અક્ષય જોશીએ કબુલ્યુ કે કે દરેક સિંહનું મોનેટરીંગ કરવું શક્ય નથી અને જ્યારે જ્યારે જાગૃત નાગરિક કે સિંહ પ્રેમી સિંહનો મામલે કોલ કરે છે. ત્યારે વન વિભાગ નો સ્ટાફ સ્થળ પર પહોંચે છે જેનો મતલબ થાય છે કે વન વિભાગને ખ્યાલ જ નથી હોતો કે સિંહો કયા અવરજવર કરી રહ્યા છે. હાલ તો વન વિભાગ 'સબ સલામત'ના દાવા કરી રહ્યું છે, પણ અધિકારીની 'મોનિટરિંગ શક્ય નથી' વાળી કબૂલાતે સિંહોની સુરક્ષા સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. શું વન વિભાગ જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે ?
ભાવનગર શહેરના જાણીતા તબીબ દંપતીના ઘરકંકાસનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જાણીતા જોઈન્ટ એન્ટ સ્પાઈન સર્જન ડોકટર નિસર્સ શાહ સામે તબીબ પત્નીએ દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ જોઈન્ટ એન્ડ સ્પાઈન સર્જન, પત્ની ગાયનેક ડોકટરસમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસ મથેકથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં તથા મહુવાની એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જોઈન્ટ એન્ડ સ્પાઇન સર્જન તરીકે ફરજ બજાવતા ડોક્ટર નિસર્ગ પંકજભાઈ શાહના લગ્ન 2019ની સાલમાં શહેરના સરદારબાગ સોસાયટીમાં રહેતી અને સરટી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી મેઘા શાહસાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતા. પાંચ મહિના સુધી આ તબીબ દંપતીનો ઘર સંસાર બરાબર ચાલ્યા બાદ ડોક્ટર નીસર્ગે પોતાનું વાસ્તવિક પોત પ્રકાશ્યું હતું અને પત્ની મેઘાને દહેજ મામલે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદનિસર્ગ પોતે ડોક્ટર હોવા છતાં દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય અને દારૂ પી પત્ની મેઘાને માર મારતો હોય તથા મેઘાને તેના પિયરમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ લાવવા માટે સતત દબાણ કરતો હોય અને જો દહેજનો સામાન ન લાવે તો ઘર છોડીને જતા રહેવા દબાણ કરતો હોય આ ત્રાસથી કંટાળી ગયેલી મહિલા તબીબે ઘણા સમય સુધી પોતાનો ઘર સંસાર બચાવવા માટે પતિના અત્યાચાર સહન કર્યા હતા. પરંતુ ત્રણ વર્ષના પુત્ર સાથે પત્ની મેઘાને તબીબે ત્યાજી દેતા મેઘાએ પિતાના ઘરનો આશરો લીધો હતો આ વાત પણ નિસર્ગને ખટકતી હોય તેમ અને મેઘા તથા તેના પિતાની આબરૂને ઠેસ પહોંચાડવા માટે કલેકટરને બે વખત પી સી પી એન ડી ટી હેઠળ ખોટી ફરિયાદો કરી હતી. દરમિયાન નિસર્ગ સાથે સમાધાન વાટાઘાટોના પ્રયત્નો નિષ્ફળ નિવડતા અંતે ડોક્ટર મેઘાએ તબીબ નિસર્ગ પંકજ શાહ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સાબરકાંઠામાં હજયાત્રીઓનું રસીકરણ પૂર્ણ:881 હજયાત્રીઓને 11 દિવસના સમયગાળામાં રસી આપવામાં આવી
સાબરકાંઠા જિલ્લામાં હજયાત્રીઓ માટેનું રસીકરણ અભિયાન પૂર્ણ થઈ ગયું છે. હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં કુલ 881 હજયાત્રીઓને 11 દિવસના સમયગાળામાં રસી આપવામાં આવી હતી. આ માહિતી હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ આપી હતી. ડૉ. જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, રસીકરણની કામગીરી 9 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ હતી. પ્રથમ તબક્કામાં, સરકારી કોટા હેઠળ હજ પઢવા જતા 343 યાત્રીઓને 9 થી 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન ચાર દિવસમાં રસી આપવામાં આવી હતી. ત્યારબાદ, ખાનગી ધોરણે હજ પઢવા જનાર 538 હજયાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ યાત્રીઓને 25 ફેબ્રુઆરી 2026 ના રોજ અને પછી 6 એપ્રિલ 2026 થી 22 એપ્રિલ 2026 સુધીના સાત દિવસ દરમિયાન રસી અપાઈ હતી. બુધવારે, રસીકરણના અંતિમ દિવસે 93 હજયાત્રીઓને રસી આપવામાં આવી હતી. આમ, સરકારી અને ખાનગી બંને કોટાના કુલ 881 હજયાત્રીઓને 11 દિવસમાં સફળતાપૂર્વક રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
સુરતના સુભાષનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં આપઘાત કરી લીધો છે. સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. નવાઈની વાત એ છે કે, આજે જ ખ્યાતિના લગ્નને બરાબર બે મહિના પૂર્ણ થયા હતા અને તે જ દિવસે તેણે મોતને વ્હાલું કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આપઘાતનું કારણ અકબંધપોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ખ્યાતિનો પરિવાર પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે સધ્ધર છે. જોકે, ઘટનાસ્થળેથી પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, અકસ્માતે મોતનો ગુનો નોંધાયોસુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય ખ્યાતિ અભિષેક કેજરીવાલ નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ઓફિસનો સ્ટાફ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉમરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…..
ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે બાતમીના આધારે સિહોર નજીક નેસડા ગામે હીરનગર રોડ પર પેટ્રોલિંગ દરમ્યાન પસાર થતી કારને રોકી તપાસ કરતા I-20 કારમાંથી ગેરકાયદે ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ રૂ. 7.58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે પૂછપરછમાં દારૂના સપ્લાય અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય શખ્સોના નામ પણ બહાર આવતા આ ઘટનાને પગલે સિહોર પોલીસે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાગતરોજ ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે સિહોર નજીક નેસડા ગામે હીરનગર જવાના રસ્તા પર આઇ-20 કાર નં. GJ-03-HK-3004ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 488 નંગ બોટલો કિંમત રૂ. 2,48,091 ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ. 10,000 અને કાર કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 7,58,096 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી યુવરાજ ઉર્ફે શિવરાજ ખાચર (રહે. લોયાગામ, તા. સાયલા) અને મિલન સોમનાથભાઈ રાઠોડ (રહે. ખોડિયારનગર, સિહોર)ને ઝડપી લઈને વધુ કાર્યવાહી માટે સિહોર પોલીસને સોંપ્યા હતા. સુરેન્દ્રનગરથી જથ્થો લાવીને સિહોર લઈ જતા હતાપકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો આલકુ ભાંભડા (રહે. ભાણેજડા, તા. સાયલા) અને ઉદયભાઈ પાંધલ (રહે. થાન, જી. સુરેન્દ્રનગર) પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેને નેસડા ગામના વિપુલ કલાભાઈ ડાંગર, સિહોરના મહેશ દેવશીભાઈ જોટાણા તથા જયરાજ શિવાભાઈ મોરીને વેચાણ માટે પહોંચાડવાનો હતો. 7 શખ્સો સામે ગુનો નોંધાયોજે મામલે સિહોર પોલીસે કુલ 7 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)(e), 116-B, 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ:બહારના રાજકીય પદાધિકારીઓને મતવિસ્તાર છોડવા આદેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એપ્રિલ-2026માં યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના દિશાનિર્દેશો મુજબ, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઈ હેઠળ, જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં 24 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. આ પ્રતિબંધ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન, જે તે મતવિભાગના મતદાર ન હોય તેવા બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો અને અન્ય પ્રચારકોએ તાત્કાલિક ધોરણે ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી દેવાનો રહેશે. આ જાહેરનામું 24 એપ્રિલ, 2026 થી 26 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં BRTS બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. ફ્લેટની દીવાલ તોડીને બસ અંદર જતી રહેતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જોકે સવારના સમયે ઘટના બની હતી જેના કારણે પાર્કિંગમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જવામાં આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો અને સોસાયટીના લોકોએ બસની ચાવી લઈ લીધી હતી. બસની બ્રેક ન વાગી હોવાના કારણે આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે BRTS તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા લેવામાં આવશે. બ્રેક ફેલ થતા બસ સોસાયટીની દીવાલમાં ઘૂસી ગઈમળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યાની આસપાસ ચાંદખેડા બીઆરટીએસ બસના સર્વિસ સ્ટેશન ડેપોમાંથી બસ બહાર કાઢી અને લઈ જવામાં આવી રહી હતી. બસ ડેપોમાંથી બહાર નીકળી હતી ત્યારે પ્રહલાદ પાર્ક પાસે બસ પહોંચતા તેની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે બસ રોડ પરથી સીધી ફ્લેટના દિવાલ તરફ અથડાઈ ગઈ હતી. બસ ફ્લેટની દિવાલ તોડી અને ફ્લેટના મુખ્ય ભાગ પાસે અથડાઈ હતી જેના કારણે થઈને ફ્લેટનું ભારે નુકસાન થયું હતું. વહેલી સવારે જોરદાર અવાજ આવવાની સાથે જ સ્થાનિક લોકો દોડીને બહાર આવી ગયા હતા. બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયોઅમદાવાદ જનમાર્ગ લિમિટેડના અધિકારી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ ટાઈમ ઓપરેટરની બસ હતી અને જે પણ નુકસાન થયું છે તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે કરીને આપશે. બસ ઓપરેટરને 2 લાખ રૂપિયા નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાંદખેડા વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડનું વર્કશોપ આવેલું છે જે વર્કશોપમાં બસ ના કારણે અકસ્માતની આ ચોથી ઘટના બની છે અગાઉ પણ ત્રણથી ચાર વખત અકસ્માતની ઘટના બની છે. BRTS તંત્ર દ્વારા અગાઉ પણ આવી ઘટના બનતા દીવાલ ફરીથી બનાવી દેવામાં આવે છે પરંતુ આ વખતે પણ આ ઘટના બનતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નવી દીવાલ બનાવી દેવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન એક અનોખી પહેલ કરી હતી. તેમણે કુલ 18 ભોગ બનનાર અરજદારોને રૂબરૂ બોલાવી પોલીસની કામગીરી અને તેમની અરજીઓ પર થયેલી કાર્યવાહી અંગે સીધી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન, SP ખરાતે અરજદારો સાથે કલાકો સુધી વાર્તાલાપ કર્યો હતો. તેમણે અરજીઓમાં થયેલી તપાસની કામગીરી અને કાર્યવાહી અંગે અરજદારોનો સંતોષ કે અસંતોષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્રજા પ્રત્યે પોલીસની ફરજને વધુ મજબૂત બનાવવાનો હતો. ચર્ચા દરમિયાન, અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત વિવાદો અને પારિવારિક સમસ્યાઓ જેવી વિવિધ પ્રકારની અરજીઓ રજૂ થઈ હતી. SP ખરાતે દરેક અરજીમાં થયેલી તપાસ અને કામગીરી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. કેટલીક અરજીઓ બાબતે, SP સંજય ખરાતે સંબંધિત અધિકારીઓને યોગ્ય, નિષ્પક્ષ અને સમયસર તપાસ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ પહેલથી અરજદારોને સીધો ન્યાય મળવાની આશા જાગી છે.
મહાનગરપાલિકાની ચૂંટણી માટે હાલ રાજકીય રંગ જામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે પક્ષ પલટાની પણ મોસમ જામે છે. વડોદરા શહેરમાં વોર્ડ 16માં ભાજપ સાથે સંકળાયેલા 200 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેઓને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. હાઈપ્રોફાઇલ સોસાયટીના 200 કાર્યકરો કોંગ્રેસમા જોડાયાશહેરના રાજકીય વાતાવરણમાં એક મોટો ગરમાવો જોવા મળ્યો છે, ખાસ કરીને વોર્ડ નંબર 16માં ભાજપના 200 થી વધુ સક્રિય કાર્યકરો અને અગ્રણીઓએ પક્ષનો છેડો ફાડીને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ પક્ષપલટાની પ્રક્રિયા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સીધી આગેવાની હેઠળ યોજાઈ હતી. તેમની હાજરીમાં ભાજપના કાર્યકરોએ કેસરી ખેસ ત્યાગીને કોંગ્રેસનો તિરંગો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના ગઢમાં ગાબડુંવોર્ડ 16ના આ ફેરફારમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે વિસ્તારની અત્યંત હાઈ-પ્રોફાઈલ ગણાતી સોસાયટીઓ, જેવી કે શ્રીનાથ અરાઈઝ, વિસ્ટેરિયા હાઇટ્સ, કેશર ઓરિયન અને આરાધ્યા આંગન જેવી સોસાયટીઓના પ્રમુખો અને સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. આ સોસાયટીઓના સમર્થનથી કોંગ્રેસ હવે આ વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી હોય તેમ જણાય છે. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવથી રોષસ્થાનિક રહીશોમાં શાસક પક્ષ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસમાં જોડાયેલા રહીશોનો મુખ્ય આરોપ છે કે છેલ્લા 2 વર્ષથી તેઓ રોડ, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા. તેમ છતાં, ભાજપના સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય દ્વારા તેમની સમસ્યાઓના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપેક્ષાને કારણે રહીશોએ અંતે ભાજપનો સાથ છોડી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવાનો નિર્ણય કર્યો છે. વિસ્તારમાં ભવ્ય ગરબા મેદાન બનાવવા માગનવા જોડાયેલા તમામ રહીશો અને કાર્યકરોને આવકારતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ખાતરી આપી હતી કે તેમની તમામ સમસ્યાઓનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે. આ પ્રસંગે તેમણે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારની માતા-બહેનોની સુવિધા માટે અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે સ્થાનિક સ્તરે જ એક ભવ્ય ગરબા મેદાન તૈયાર કરી આપવામાં આવશે. આ જાહેરાતથી સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
મહીસાગરના બાલાસિનોર GIDC ખાતે આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારમાં કામ કરતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતા જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર ટીમ બે ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો હતો. હોમગાર્ડ ઓફિસમાં ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા કરવાની પ્રક્રિયા થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. બેલેટ પેપરમાં એક જ વ્યક્તિ 50 - 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી તપાસ કરવા પોલીસ અરજી કરી છે. જેમાં હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અરજી કરવામાં આવી છે. જોકે હોમગાર્ડની ઓફિસને તાળું મારીને ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. એક જ વ્યક્તિ 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપકોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર પર એક જ વ્યક્તિ 50થી 60 સિક્કા મારવામાં આવતા હતા. જેથી બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હોમગાર્ડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતાં. તેમજ તપાસ કરવા ચૂંટણી અધિકારીની હાજરી વગર જ બેલેટ પેપરથી સિક્કા મારવામાં આવતા હોવાથી કોંગ્રેસે હોબાળો કર્યો હતો. જો કે તે બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ ભાજપ સાથે જોડાયેલો હોવાથી ખોટું ચાલતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની કોંગ્રેસે માંગ કરીકોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. જેમાં પંકજ રાઠોડ, ગૌતમ પરમાર, વિજય જાદવ બેલેટ પેપરમાં સિક્કા મારતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ અને જવાબદાર ચૂંટણી અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. યોગ્ય તપાસ કરી જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. 'અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે'કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે બેલેટ પેપરમાં સિક્કા મારતા હતા. જેમાં માત્ર હોમગાર્ડનું જ મતદાન થતું હતું. તેમજ હોમગાર્ ના વડા બંધારણીય રીતે સરકારના કાર્યકરો છે. અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે. ગઈકાલે એક વ્યક્તિ 50થી 60 સિક્કા મારતા હતા. જેથી તપાસ કરવા માટે અમે અંદર ગયા અને વીડિયો ઉતારીને પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી તો હતા જ નહીં. જેથી વોર્ડના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતાં. જેથી મટીરીયલનો નાશ ન થાય તે માટે તાળું મારી દેવામાં આવ્યું હતું. જે બાદ તેની ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. ચૂંટણી અધિકારી વગર જ ખોટી રીતે બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. 'સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ'વધુમાં નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, જો પોલીસ અધિકારી યોગ્ય રીતે તપાસ કરે તો ઘણું બધું સામે આવી શકે છે. અધિકારી હાજર ન હોવા છતાં મટીરિયલ કઈ રીતે આવ્યું તે સૌથી મોટો સવાલ છે. સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ચૂંટણી પંચના અધિકારી વગર મતદાન ન થઈ શકે તો આટલી હદે ખોટું ચાલી રહ્યું છે. હોમગાર્ડ ઓફિસમાં જ જો આ રીતે ખોટું ચાલતું હોય તો અમારું માનવું છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. પોલીસ ફરિયાદમાં ત્રણ સિક્કાવાળા વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી છે. હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમજ જવાબદાર ચૂંટણી અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે માટે પાંચ નામ આરોપી તરીકે આપવામાં આવ્યા છે. નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો સાચી હકીકત સામે આવશે. કોઈનો મત અન્ય કોઈ વ્યક્તિ આપી દે તે સૌથી મોટું પાપ છે. નિષ્પક્ષ તપાસ થશે તો ઘણા બધા લોકો જેલમાં પણ જશે.
પાટણ પોલીસે રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકી મેટ્રિમોનિયલ એપ દ્વારા પુરુષોને ફસાવી ખંડણી ઉઘરાવતી હતી. પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંખારી ગામની સીમમાં ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંની વહેંચણી કરવા એકઠા થયા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કરણજી કનુજી માધાજી ઠાકોર (રહે. ખિમિયાણા, પાટણ), દિનેશભાઇ હિરાભાઇ મેવાભાઇ રબારી (રહે. લેલાવા, બનાસકાંઠા) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી મુજબ, ટોળકીની એક મહિલા સભ્ય 'જીવનસાથી' એપ પર ખોટા નામથી ફેક એકાઉન્ટ બનાવી લગ્ન કરવા ઈચ્છુક પુરુષોનો સંપર્ક કરતી હતી. ત્યારબાદ મહિલા તેને કોઈ અંતરિયાળ વિસ્તારમાં મળવા બોલાવતી હતી. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ ત્યાં પહોંચે ત્યારે અન્ય આરોપીઓ ત્યાં આવી પોતે મહિલાના ભાઈ હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને માર મારી અને ધમકાવીને મોટી રકમની માંગણી કરતા હતા. જો નાણાં ન મળે તો તેને બદનામ કરવાની ધમકી આપી તેનું અપહરણ કરતા અને રકમ મળી ગયા બાદ તેને છોડી મુકતા હતા. રણુંજ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.ટી.ગઢવી અને સ્ટાફના માણસોએ આ સફળ કામગીરી કરી આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદમાં શ્રી ગિરિરાજ જૈન સંઘ દ્વારા શ્રી પ્રગટ પ્રભાવી પ્રાશ્વૅનાથ જિનાલયની 36મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈશાખ સુદ છઠ, બુધવાર, 22 એપ્રિલ, 2026ના રોજ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 6:45 કલાકે ગિરિરાજ દેરાસરના બોર્ડ પાસેથી વાજતેગાજતે સામૈયું કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 7:15 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ શુભ અવસરે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંઘ સ્વામિવાત્સલ્યનું આયોજન કરાયું હતું. શ્રી સંઘ તથા સ્વામિવાત્સલ્યના કાયમી અને આ વર્ષના સહાયક ફંડના લાભાર્થીઓ તરફથી સવારે 11:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી ગિરિરાજ દેરાસરના સ્વામિવાત્સલ્ય હોલમાં ભોજન પ્રસાદ યોજાયો. વૈશાખ સુદ સાતમ, ગુરુવાર, 23 એપ્રિલ, 2026ના રોજ ઉપરના ગભારાના મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની સાલગીરી પણ ઉજવવામાં આવશે. આ દિવસે પણ સંઘ સ્વામિવાત્સલ્યનું આયોજન કરાયું છે. શ્રી સંઘ તથા શ્રી સંઘ સ્વામિવાત્સલ્યના કાયમી તેમજ આ વર્ષના સહાયક ફંડના લાભાર્થીઓ તરફથી સવારે 11:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી ગિરિરાજ દેરાસર ખાતે સ્વામિવાત્સલ્ય હોલમાં ભોજન પ્રસાદ યોજાશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં ક્લોરિનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. હાલમાં જ માર્ચ મહિનામાં મનપાએ લીધેલા 8901 નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે. જે પૈકી કેટલાક વિસ્તારોમાં વિતરણ કરાતું પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી 5 સ્થળે બેક્ટેરિયાની હાજરી મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, બીજીતરફ દૂષિત પાણીને લઈ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. જોકે તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ તંત્ર દ્વારા ગત માર્ચ માસ દરમિયાન શહેરના ત્રણ ઝોન વેસ્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાંથી કુલ 8901 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં રેસિડ્યુઅલ ક્લોરિનના કુલ 8577 નમૂના, બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 295 નમૂના અને કેમિકલ એનાલિસિસ માટે 29 નમૂનાનો સમાવેશ થાય છે. આ નમુનાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાંથી લેવાયેલા 149 બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓમાંથી 5 સ્થળે પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા 75 નમૂનાઓ પૈકી 2 સ્થળે નમૂના ફેઈલ ગયા છે. આમ, શહેરના કુલ 7 જેટલા સ્થળોએ પાઈપલાઈન મારફતે પહોંચતું પાણી પીવાલાયક નહીં હોવાનું સાબિત થયું છે. મહાપાલિકા દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલા નમૂના રેસિડ્યુઅલ ક્લોરિન નમૂના 8577 બેક્ટેરિયોલોજીકલ નમૂના 295કેમિકલ સેમ્પલ 29કુલ નમૂના 8901વેસ્ટ ઝોન: 149 માંથી 5 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા.સેન્ટ્રલ ઝોન: 75 માંથી 2 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉનાળા દરમિયાન પાણીની પાઈપલાઈનમાં લીકેજ અથવા ફિલ્ટર પ્લાન્ટમાં ખામી સર્જાવાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. જો ક્લોરિનેશન યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો આ પાણી રોગચાળાનું મુખ્ય કારણ બને છે. રાજકોટ જેવા મહાનગરમાં જ્યાં લાખો લોકો મનપાના પાણી પર નિર્ભર છે, ત્યાં આ પ્રકારની બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે તેમ છે. હાલમાં જ્યારે 7 સ્થળે બેક્ટેરિયા મળી આવ્યા છે, ત્યારે તંત્રએ યુદ્ધના ધોરણે જે-તે વિસ્તારોની પાઈપલાઈન ચેક કરવી જોઈએ અને ક્લોરિનનું પ્રમાણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સમગ્ર મામલે મહાપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં નમૂના ફેલ ગયા છે ત્યાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પાઈપલાઈનમાં જો ક્યાંય ભંગાણ હોય તો તેને રિપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ પમ્પિંગ સ્ટેશનો પર ક્લોરિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. રહીશોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય તો તુરંત મનપાના કંટ્રોલ રૂમમાં જાણ કરવી જેથી તરત પગલાં લઈ શકાય. આગામી અઠવાડિયામાં ફરીથી આ બધા વિસ્તારોમાંથી રિ-સેમ્પલિંગ કરી ફરી પાણીની શુદ્ધતાની ખાતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાલ ચૂંટણીનો માહોલ છે અને આચારસંહિતા અમલી છે, ત્યારે નાગરિકોનો આરોપ છે કે તંત્ર આ બાબતે ઉદાસીનતા દાખવી રહ્યું છે. અનેક વોર્ડના રહીશો લાંબા સમયથી વાસવાળું અને ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા હસ્તકના ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે જળ વિતરણ વ્યવસ્થામાં પ્રદૂષણ ભળે છે. દૂષિત પાણીના વપરાશને કારણે ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણીની આચારસંહિતાનું બહાનું ધરીને મનપા દ્વારા સાપ્તાહિક રોગચાળાના આંકડાઓ જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
જૂનાગઢના કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર જ કેક કાપવામાં આવી, ફટાકડાં ફોડ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતાં. જેના કારણે સામાન્ય જનતામાં અનેક ચર્ચાઓ જાગી છે. આ કાર્યક્રમમાં માત્ર જિલ્લા પ્રમુખ જ નહીં પરંતુ કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત અનેક ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા. કેશોદ એસપી બી. સી. ઠક્કર સાથે ભાસ્કરે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરશું. શિસ્તબદ્ધ ભાજપના નેતાઓ શું બર્થ ડે ઉજવણીમાં કાયદા ભૂલ્યા? સામાન્ય રીતે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જવાબદાર હોદ્દેદારો જ્યારે જાહેર માર્ગો પર આ પ્રકારે એકત્રિત થઈને ઉજવણી કરે તો સ્થાનિકોમાં સવાલો ઉભા થયા છે. એક તરફ જ્યારે વહીવટી તંત્ર દ્વારા કડક નિયમોના પાલનની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે સત્તાધારી પક્ષના જ જવાબદાર પ્રતિનિધિઓની હાજરીમાં ફટાકડા ફોડીને જાહેરમાં ધાંધલ-ધમાલ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફટાકડાના ગુંજતા અવાજો અને રસ્તા પર લાગેલી ભીડને કારણે મોડી રાત્રે શાંતિનો ભંગ થયો હતો અને કાયદાનું જાહેરમાં ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. પોલીસ સામાન્ય લોકો પાસે માફી મગાવતા વીડિયો બનાવતી હોય છેસૌથી મોટો પ્રશ્ન અત્યારે પોલીસ તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યો છે. અગાઉ અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરે કે હરકત કરે ત્યારે પોલીસ તુરંત હરકતમાં આવી જતી હોય છે. ઘણીવાર તો પોલીસ આવા સામાન્ય લોકો પાસે માફી મંગાવતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતી હોય છે જેથી સમાજમાં દાખલો બેસાડી શકાય. પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તેના પર સૌની નજરપરંતુ અહીં સવાલ એ છે કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? જ્યારે પ્રભાવશાળી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને શું કાયદાની મર્યાદા ઓળંગી?. કેશોદના ચાર ચોકમાં થયેલી આ ઉજવણીના વીડિયો અને ફોટા વાયરલ થયા બાદ હવે લોકો પોલીસના આગામી પગલાની રાહ જોઈ રહ્યા છે. શું પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે ગુનો નોંધશે કે પછી રાજકીય દબાણ હેઠળ આ મામલે આંખ આડા કાન કરવામાં આવશે તે જોવાનું રહ્યું. પોલીસ આવા કેસોમાં જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188 હેઠળ ગુનો નોંધીને કાયદાને અનુસંધાને કામ કરતી હોય છે. પરંતુ શું જૂનાગઢ પોલીસ શિસ્તબદ્ધ ભાજપના નેતાઓ અને બર્થડે ઉજવણીમાં સામેલ લોકો પર કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. આ પણ વાંચો 1 મહિના પહેલા કારના રૂફ અને બોનેટ પર બેસી ABVPના કાર્યકર્તાઓએ રેલી યોજી 1 મહિના પહેલાં જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું હતું. જૂનાગઢની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના બોનેટ અને રૂફ પર બેસી જોખમી રીતે રેલી યોજતા સવાલો ઉઠ્યા હતાં. સોશિયલ મીડીયામાં જે હોદેદારોના વીડિયો વાઈરલ થયા, તેમાં કેટલાક રાજકીય આગેવાનોના સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને પણ તાલુકા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી ભીનું સંકેલી લીધું હતું, કારણ કે આ ઘટનામાં પણ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો દીકરો મુખ્ય હોવાની વિગત મળી હતી.
મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દૂ યુવતીઓને નોકરીની લાલચ આપી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરાયાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ મામલે વલસાડ જિલ્લા બજરંગ દળ અને વિવિધ હિન્દૂ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આકરી નિંદા કરી હતી. મળતી માહિતી મુજબ, નાસિકની એક જાણીતી આઈટી કંપની (TCS) માં નોકરી કરતી હિન્દૂ યુવતીઓને નિશાન બનાવી લવ જેહાદના ષડયંત્રમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. હિન્દૂ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે યુવતીઓને હિજાબ પહેરવા અને ગૌમાંસ ખાવા દબાણ કરીને તેમનું ધર્માંતરણ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી. વલસાડ બજરંગ દળના સંયોજક સમીપ સુરવે જણાવ્યું હતું કે, 'દેશભરમાં હિન્દૂ દીકરીઓને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ કરાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. નાસિકની ઘટના અત્યંત નિંદનીય છે.' તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને ઉદ્દેશીને કલેક્ટરને આવેદન આપ્યું હતું કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. દુર્ગાવાહિનીના પ્રખંડ સંયોજિકા વિપાસા રાઠોડે પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'આજની ભણેલી-ગણેલી દીકરીઓને પણ જિહાદીઓ નિશાન બનાવી રહ્યા છે. આ એક 'કોર્પોરેટ જેહાદ' છે.' આવેદનપત્રમાં જણાવાયું છે કે જો આવી ઘટનાઓ અટકશે નહીં તો આગામી દિવસોમાં હિન્દૂ સંગઠનો ઉગ્ર આંદોલન કરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો 'જય શ્રી રામ'ના નારા સાથે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી.
ગોધરાના રાટા પ્લોટમાં ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ:ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી, કાબૂ મેળવવા પ્રયાસો ચાલુ
ગોધરા શહેરના રાટા પ્લોટ વિસ્તારમાં આવેલી મદની મસ્જિદ નજીક એક ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાદલાના ગોડાઉનમાં રૂ હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ રહી હતી.આ ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નગરપાલિકાના બે ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ગોડાઉન રહેણાંક વિસ્તારની નજીક આવેલું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ પાસે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ ભાજપના ઉમેદવારોને બરાબરના ઉધડો લીધા છે. વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા ત્યારે સ્થાનિકે તળાવમાં ફેલાયેલી ગંદકી બતાવતા ભાજપના કાર્યકરોએ “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા. જેથી સ્થાનિકોએ પૂછ્યું હતું કે, 'રામના 10 નામ બોલી બતાવો'. તેમજ સવાલોનો મારો ચલાવતા ઉમેદવારોએ ભાગવું પડ્યું હતું. ભાજપના ઉમેદવારો ધરતીબેન સોની, અનિતાબેન વિરપુરા, રણજીત રાજપુત અને પવન હેમનાની પ્રચાર માટે વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન તેઓ સરસિયા તળાવ પાસે પહોંચ્યા ત્યારે કેટલાક સ્થાનિક નાગરિકોએ તળાવની હાલત અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ તળાવમાં ફેલાયેલી ગંદકી, અયોગ્ય સફાઈ અને લાંબા સમયથી બાકી રહેલા વિકાસ કાર્યો અંગે સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન સાથે આવેલા ભાજપના કાર્યકરોએ “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા, ત્યારે એક નાગરિકે વિરોધ દર્શાવતા ઉમેદવારો અને કાર્યકરોને પ્રશ્ન કર્યો કે “રામના 10 નામ બોલી બતાવો.” આ નિવેદનથી ત્યાં થોડીવાર માટે ઉમેદવારો શરમમાં મૂકાવા જેવું થયું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પ્રચાર સમયે માત્ર નારા લગાવવાથી નહીં, પરંતુ વિસ્તરના વાસ્તવિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂરી છે. તળાવની ગંદકી અને આસપાસની અણઘડ પરિસ્થિતિને લઈને નાગરિકોમાં અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
ચૂંટણી આયોગે ઓનલાઈન પોર્ટલ કર્યું કાર્યરત:મતદારો ઘરે બેઠા મેળવી શકશે વોર્ડ-બૂથની માહિતી
રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સામાન્ય ચૂંટણી-2026 માટે મતદારોની સુવિધા વધારવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમામ મતદારો મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ, વોર્ડ નંબર અને મતદાન મથક જેવી પાયાની વિગતો ઓનલાઈન મેળવી શકશે. આ ટેકનોલોજીનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદારનું નામ સ્થાનિક સ્વરાજ્યની મતદારયાદીમાં હોવું ફરજિયાત છે. મતદારોને ઘણીવાર તેમના મતદાન મથક અથવા વોર્ડ અંગે મૂંઝવણ થતી હોય છે. આ સમસ્યા દૂર કરવા આયોગે ઓનલાઈન સર્ચ એન્જિન ઉપલબ્ધ કરાવ્યું છે, જેના દ્વારા મતદાન મથકનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. આ સુવિધાનો લાભ લેવા માટે, મતદારોએ રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ https://secsearch.gujarat.gov.in/search/default.aspx ની મુલાકાત લેવી પડશે. પોર્ટલ પર બે વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પ 'નામ દ્વારા શોધ' છે. જો EPIC નંબર ઉપલબ્ધ ન હોય, તો મતદારો પોતાનું નામ, પિતા કે પતિનું નામ, અટક, જિલ્લો, તાલુકો અને વિસ્તાર પસંદ કરીને માહિતી શોધી શકે છે. બીજો વિકલ્પ 'EPIC નંબર દ્વારા શોધ' છે. મતદાર ઓળખપત્ર પર લખેલો આલ્ફા-ન્યુમેરિક EPIC નંબર દાખલ કરીને સીધી જ વિગતો મેળવી શકાય છે. સર્ચ બટન પર ક્લિક કર્યા પછી, મતદારનું નામ, પિતા/પતિનું નામ, વોર્ડ નંબર, મતદારયાદીનો ભાગ નંબર, ક્રમ નંબર, તેમજ મતદાન મથકનું નામ અને સરનામું સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ મતદારોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. મતદાનના દિવસે છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન થાય તે માટે નાગરિકોને અત્યારથી જ આ પોર્ટલ દ્વારા પોતાની વિગતો ચકાસી લેવા વિનંતી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં કોઈ પણ લાયક મતદાર મતાધિકારથી વંચિત ન રહે.
ચારુસેટ RPCPનો 22મો વાર્ષિકોત્સવ ઉજવાયો:ડો. વિરાંચી શાહ અને ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન
ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)નો 22મો વાર્ષિકોત્સવ 15 એપ્રિલ, 2026ના રોજ ચારુસેટ કેમ્પસમાં ઉજવાયો હતો. આ પ્રસંગે સાગા લાઈફ સાયન્સ લિમિટેડના ડિરેક્ટર અને IDMAના નેશનલ સ્પોક્સપર્સન ડો. વિરાંચી શાહ તેમજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, માનદ મંત્રી ડો. એમ.સી. પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ અને સહમંત્રી મધુબેન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનિત પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન ડો. સમીર પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. RPCPના પ્રિન્સિપાલ ડો. મનન રાવલે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં અભ્યાસક્રમ, સહ-અભ્યાસક્રમ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ તેમજ સંશોધનમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સની સિદ્ધિઓ અને સીમાચિહ્નોને આવરી લેવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન ડો. વિરાંચી શાહે યુનિવર્સિટી અને સંસ્થાના વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે AI અને IOના પરિવર્તનકારી પ્રભાવ, બાયોસિમિલર્સમાં નવીનતાઓ તેમજ વિઝન 2047 માટેના રોડમેપ વિશે સંબોધન કર્યું હતું. તેમણે સ્વસ્થ રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં ગ્લોબલ કમ્પ્લાયન્સ સેન્ટર (GCC) અને GCC પાર્કની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. અતિથિવિશેષ ભરતભાઈ પટેલે સંસ્થા અને યુનિવર્સિટીના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજના આરોગ્ય માટે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) અને તેમાં ફાર્માસિસ્ટની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તેમની સિદ્ધિઓ બદલ એવોર્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ ફેકલ્ટી મેમ્બર્સને પણ તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે બી.ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ધૈર્ય શાહ અને પંક્તિ પટેલે વિદાય પ્રવચન આપ્યું હતું. વાર્ષિકોત્સવના કો-ઓર્ડીનેટર ડો. નિલય સોલંકી દ્વારા આભારવિધિ સાથે સમારંભનું સમાપન થયું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ પત્રમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદ મિતેશ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં યોજાયેલ જાહેર સભામાં આપેલા નિવેદનોથી ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે. કોંગ્રેસના પત્ર મુજબ, 20 એપ્રિલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના એક કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ મતદારોને પ્રભાવિત કરવા માટે સરકારી સહાય અને ગ્રાન્ટ બાબતે ભ્રામક અને પ્રલોભન આપતા નિવેદનો આપ્યા હતા. કોંગ્રેસે આ નિવેદનને ગંભીર ગણાવી જણાવ્યું છે કે આવી ભાષા ચૂંટણી પ્રક્રિયાને અસર કરે છે અને મતદારો પર અયોગ્ય દબાણ સર્જે છે. તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં માંગપત્રમાં વધુમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે, છતાં ભાજપના નેતાઓ દ્વારા જાહેરમાં આવા નિવેદનો આપવામાં આવતાં ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થાય છે. કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને વિનંતી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે. ‘મતદારોને ભયભીત કરવા અથવા લોભ આપવાનો પ્રયાસ’કોંગ્રેસે માંગણી કરી છે કે આ પ્રકારના નિવેદનો દ્વારા મતદારોને ભયભીત કરવા અથવા લોભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે. અંતે, કોંગ્રેસે ચૂંટણી આયોગને નિષ્પક્ષતા જાળવવા માટે સખત કાર્યવાહી કરવાની અપીલ કરી છે. શું કહ્યું હતું સાંસદે?જાહેર સભામાં સંબોધન કરતાં સાંસદ મિતેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આંકલાવ વિસ્તારમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતશે તો તે વિસ્તારોને ગ્રાન્ટ આપવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતની એકપણ બેઠક કોંગ્રેસ જીતશે તો તેઓ એક રૂપિયાની પણ ગ્રાન્ટ મંજૂર નહીં થવા દે.
વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો
Vaishno Devi Temple Silver Scam: હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર 5-6% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કર્યો છે. રૂ.
યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
(IMAGE - IANS) Lufthansa flight Cancellations: ઈરાન સાથેના યુદ્ધના પ્રારંભ બાદ જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં બમણો વધારો થતાં યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સા(Lufthansa) એ મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 જેટલી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.
પાટણ નગરપાલિકા ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 7 માં કોંગ્રેસે છત્રીઓ સાથે પ્રચાર શરૂ કર્યો છે. શહેર કોંગ્રેસની ટીમ અને મહિલા કાર્યકરોએ બુકડી વિસ્તારમાં ઘરે-ઘરે ફરીને ભાજપ શાસનમાં ગંદા પાણીની સમસ્યા અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસને વિજયી બનાવવા અપીલ કરી હતી. આગામી 26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર કાર્ય વેગવંત બન્યું છે. વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે સવારના સમયે આકરા તડકા અને ગરમીથી બચવા માટે નેતાઓ અને કાર્યકરો હાથમાં છત્રીઓ લઈને પ્રચારમાં ઉતર્યા હતા. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ખાસ કરીને પ્રચારમાં જોડાયેલી મહિલા કાર્યકરોને ગરમીમાં હાલાકી ન પડે તે માટે વિશેષ છત્રીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ બુકડી વિસ્તારના વિવિધ મહોલ્લાઓમાં જઈ સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપના શાસન પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પાટણની જનતા પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થવાની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છે. ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પ્રજાના કામોમાં રસ દાખવવાને બદલે માત્ર કમિશન અને ભ્રષ્ટાચારમાં જ ધ્યાન આપ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન અમલી બનેલા 'નગરપાલિકા પ્રજાને દ્વારે' જેવા કાર્યક્રમોને યાદ કરી સેવાકીય શાસનનો વાયદો કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા પ્રચાર માટે આ વખતે ઘણો ઓછો સમય મળ્યો છે. 16 એપ્રિલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ માત્ર 8 દિવસનો સમય મળ્યો હોવા છતાં, કોંગ્રેસ દ્વારા આખા પાટણમાં ઘરે-ઘરે પહોંચવા પ્રયાસો થઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે સવારના 9 વાગ્યાથી જ તાપમાન ઉંચુ રહેતું હોવાથી કાર્યકરોની સુરક્ષા માટે છત્રીનો ઉપયોગ કરી આ પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પાયાની સુવિધાઓના મુદ્દે કોંગ્રેસ આ વખતે જનતા પાસે પરિવર્તન માટે મત માંગી રહી છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓના માહોલ વચ્ચે આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે કર્મચારીઓ ચૂંટણીના દિવસે ફરજ પર હોવાને કારણે પોતાના મતદાન મથક પર જઈ શકતા નથી, તેવા પોલીસ કર્મીઓ અને સરકારી અધિકારીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારના 9 વાગ્યાથી જ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક લાઇનમાં ઉભા રહીને પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. 5 હજાર જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશેચૂંટણી પંચના આંકડા મુજબ, સુરત જિલ્લામાં આ વખતે અંદાજે 5 હજાર જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે. આ યાદીમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી આ જવાનોના શિરે હોય છે, તેથી તેઓ અગાઉથી જ પોતાનો વોટ આપી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે ચુસ્ત સુરક્ષા અને વ્યવસ્થાસુરત પોલીસ હેડક્વાર્ટરને ખાસ મતદાન કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં મતદાન કરવા આવતા કર્મચારીઓ માટે અલગ-અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે જેથી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની રહે. હોમગાર્ડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલશે. કર્તવ્ય અને અધિકારનો સંગમ આજે પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. મતદારની એન્ટ્રીથી લઈને બેલેટ પેપર જમા કરાવવા સુધીની હિલચાલ કેમેરામાં કેદમતદાનની ગુપ્તતા જળવાય અને પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. મતકુટિર (Voting Compartment) ની બહાર સંપૂર્ણ વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. દરેક મતદાર કર્મચારીની એન્ટ્રીથી લઈને બેલેટ પેપર જમા કરાવવા સુધીની તમામ હિલચાલ કેમેરામાં કેદ કરવામાં આવી રહી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ પ્રક્રિયા પર નજર રાખી શકે તે માટે નિષ્પક્ષ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. મતગણતરીના દિવસે પોસ્ટલ બેલેટની સૌથી પહેલા ગણતરીચૂંટણીના નિયમો અનુસાર, જ્યારે મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી હાથ ધરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનની ગણતરી કરવામાં આવે છે. આથી જ આ મતો ઘણીવાર બેઠકના પરિણામનો ટ્રેન્ડ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરતના 5 હજાર જેટલા મતો જે-તે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા આ બેલેટ પેપરને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવાની અને ગણતરીના દિવસે તેને સમયસર પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
રાજ્યમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા બાદ ગઈકાલે 21 એપ્રિલે અમરેલી આગળ વધ્યું છે. મંગળવારે અમરેલી 41.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. આજે પણ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે, અત્યારે ગરમી વધવાનું મુખ્ય કારણ રાજસ્થાનના સૂકા પ્રદેશો તરફથી આવતા ગરમ અને સૂકા પવનો છે. આ પવનોમાં ભેજનો અભાવ હોવાથી તે વધુ દઝાડનારા લાગે છે. સાથોસાથ, આકાશ એકદમ સ્વચ્છ હોવાથી સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડે છે, જેના કારણે વાસ્તવિક તાપમાન કરતા અનુભવાતી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આગામી દિવસોમાં તાપમાન 43ને પાર પહોંચવાની આગાહીહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના તટિય વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી 26 એપ્રિલના રોજ જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે, આ દિવસે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન 40થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે. ગુજરાતની ગરમીની તસવીરો… 21 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં નોંધાયુંરાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 21 એપ્રિલે 41,1 ડિગ્રી સાથે અમરેલી સૌથી હોટ સિટી રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ પણ વાંચો MPના 9 શહેરોમાં વોર્મ નાઈટનું એલર્ટ:છત્તીસગઢમાં પ્લેટફોર્મ પર ઠંડા ફુવારા છોડવામાં આવ્યા; યુપીના પ્રયાગરાજમાં પારો 44.6C પર પહોંચ્યો દેશના મેદાની વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઓડિશા અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મધ્ય પ્રદેશના ભોપાલ સહિત 9 જિલ્લાઓમાં પ્રથમ વખત ‘વોર્મ નાઈટ’ની ચેતવણી આપી છે. મૈહર જિલ્લામાં ધોરણ 5 સુધીની તમામ શાળાઓમાં 30 એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો આકરી ગરમી અને દુષ્કાળને કારણે પરેશાન છે. પ્રયાગરાજમાં પારો 44.6C પર પહોંચી ગયો. રાજ્યના 26 જિલ્લાઓનું તાપમાન 40C થી વધુ રહ્યું. હવામાન વિભાગે મંગળવારે 26 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢના બિલાસપુરમાં તાપમાન 43.8C નોંધાયું. અહીં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર મિસ્ટિંગ સિસ્ટમ હેઠળ ઠંડી ફુવારા છોડવામાં આવ્યા. બિહારના પટના સહિત 8 જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે.વાંચો સંપૂર્ણ સમાચાર
માળીયા (મી) તાલુકામાં હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલ પાસે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૂળ મોરબીના જેતપર ગામના અને હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા (ઉં.વ. 28) નામના યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અનિલ કંડિયા તેના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા (ઉં.વ. 27, રહે. મોરબી) સાથે અણિયારા ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ ખાતે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને રૂપિયાની લેતીદેતી બાબતે અનિલ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન અનિલને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા મારવામાં આવ્યો હતો. અનિલને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર વિવેકને પણ છરી વાગતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલને પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ હત્યામાં પલટાયો છે. મૃતક અનિલ કંડિયાને અગાઉ જેતપર ગામે કરિયાણાની દુકાન હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી તેની માતા રંજનબેન સાથે મોરબીમાં રહેતો હતો. તેના પિતાએ પાંચેક વર્ષ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હત્યા પાછળ રૂપિયાની લેતીદેતીનો વિવાદ કારણભૂત હોઈ શકે છે અને તપાસનો રેલો મોરબીની કોઈ ફાયનાન્સ પેઢી સુધી પહોંચે તેવી શક્યતા છે. માળીયા તાલુકા પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ-વ્હીલરની ચોરી થઈ છે. ગઠીયાએ ત્રણ જ મહિનામાં વાહનોની ચોરી કરી હતી. 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોક ગણતરી થઈ ત્યારે વાહનચોરી થઈ હોવાનો ભાંડો ફુટ્યો હતો. જે અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 31 ટુ-વ્હીલરની ચોરીનવા નરોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં રહેતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ 23.25 લાખના 31 ટુ-વ્હીલરની ચોરીની ફરિયાદ કરી છે. ધર્મપાલ સંયુક્ત પરિવારમાં રહે છે અને નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષર આર્કેડની બાજુમાં સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લીમીટેડના હોન્ડા ટુ-વ્હીલરના શોરૂમમાં ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરે છે. ગોડાઉનમાં 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છેધર્મપાલ છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે જ્યારે કંપનીનું ગોડાઉન નવા નરોડા ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલુ છે. જેમાં અંદાજીત 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છે. 1 જાન્યુઆરી 2026ના રોજ વાહનોના સ્ટોકની ગણતરી કરી હતી જે પરફેક્ટ હતી, ત્યારબાદ 1 એપ્રિલ 2026ના રોજ પણ વાહનોની સ્ટોક ગણતરી થઈ હતી જેમાં કેટલાક ટુ-વ્હીલર ઓછા હતા. 4 મહિનામાં 30 એક્ટિવા અને 1 બાઇકની ચોરીધર્મપાલે ચાર મહિનાના ગાળામાં ટુ-વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતુ કે 30 એક્ટિવા અને એક બાઈક ગાયબ હતું. 4 મહિનામાં કોઈ ગઠીયો વિવિધ સમય દરમિયાન 31 વાહનોની ચોરી કરીને જતો રહ્યો હતો. ધર્મપાલે સમગ્ર મામલે શો-રૂમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, જેમાં તેમને ફરિયાદ નોંધવાનું કહ્યું હતુ. ધર્મપાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં 31 વાહન ચોરીની ફરિયાદ કરી છે જેની કિંમત 23.25 લાખ રૂપિયા થાય છે. ગોડાઉન કે શો-રૂમ, ક્યાં થઈ ચોરી? પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગોડાઉનમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. ધર્મપાલની કંપનીમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે વાહનો ગોડાઉનમાંથી ચોરાયા કે શો-રૂમમાંથી ચોરાયા તે રહસ્ય હજુ સુધી સામે આવ્યુ નથી. હાલ પોલીસે ગુનો નોંધીને તમામ દીશામાં તપાસ શરૂ કરી છે.
હિંમતનગર નેશનલ હાઈવે પર બે અકસ્માત:ચાર ટ્રક અથડાઈ, એક ચાલકને ઈજા; સાડા ચાર કલાકમાં ઘટના
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક મોતીપુરા પાસેથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સ્ટારસિટી સામેના ઓવરબ્રિજ પર આજે સવારે સાડા ચાર કલાકના ગાળામાં બે અલગ-અલગ અકસ્માત સર્જાયા હતા. આ ઘટનાઓમાં કુલ ચાર ટ્રક સામેલ હતી અને એક ટ્રક ચાલકને ઈજા થતાં તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી કપડું ભરીને આગ્રા જઈ રહેલા બે ટ્રક કન્ટેનરમાંથી એક ટ્રક બુધવારે સવારે 4:30 વાગ્યે નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ ચઢતી વખતે અમદાવાદ તરફથી આવતા એક ડમ્પરે તેને ખાલી સાઈડથી ટક્કર મારી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે ટ્રકનું એક ટાયર પંચર થઈ ગયું હતું. આ પંચર થયેલા ટ્રકનું ટાયર બદલવા માટે સવારે 9 વાગ્યાની આસપાસ પાછળ આવતો બીજો ટ્રક કન્ટેનર ટાયર લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટાયર બદલવા માટે ટ્રક કન્ટેનર ઓવરબ્રિજ પર એક બાજુ ઊભો હતો. તે જ સમયે, પૂરઝડપે આવી રહેલા અન્ય એક ટ્રક કન્ટેનરે બ્રિજ પર ઊભેલા ટ્રક કન્ટેનરને ટક્કર મારી હતી, જેના કારણે બીજો અકસ્માત સર્જાયો હતો. આ બીજા અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા થઈ હતી. ઊભા રહેલા ટ્રકના ચાલકે ઈજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બંને અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમણે ઓવરબ્રિજ પર ઊભેલી ત્રણેય ટ્રકને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પંચર થયેલા ટ્રકને મદદ પૂરી પાડી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસે પણ આ ઘટના અંગે જાણ થતાં વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં મતદાન મથકો ઊભા કરવાની પ્રક્રિયા સાથે, દરેક મતદાન મથકની આસપાસના 100 મીટર વિસ્તારનું મેપિંગ અને ગ્રાઉન્ડ માર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરના કુલ 16 વોર્ડને આવરી લેવા માટે ચાર અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને ચાર-ચાર વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા મતદાન મથકથી 100મીટર સુધીના વિસ્તારમાં માપણી કરીને સફેદ રંગથી માર્કિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ગઈકાલ રાત્રિથી શરૂ થઈ છે અને સતત ચાલુ છે. આ ઉપરાંત, મતદાન મથકોની આંતરિક સુવિધાઓ અને અન્ય આવશ્યક વ્યવસ્થાઓની તૈયારીઓ પણ સમાંતર રીતે કરવામાં આવી રહી છે. આનો ઉદ્દેશ્ય મતદાનના દિવસે કોઈપણ પ્રકારનો અવરોધ ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે. સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંકલિત રીતે આગળ વધી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા મતદાનને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન:ચૂંટણી ફરજ પરના સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને, ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ વ્યવસ્થા ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ મતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો, હોમગાર્ડ અને ગ્રામ રક્ષા દળ (GRD)ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ચૂંટણી ફરજને કારણે મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોય તેવા સુરક્ષા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની આ વ્યવસ્થા લોકશાહીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે છે. સુરક્ષાકર્મીઓએ જવાબદારીપૂર્વક મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસે પાલનપુર માટે મેનિફેસ્ટો જાહેર કર્યો:સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પાયાની સુવિધાઓના વચનો
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ તબક્કા પૂર્વે કોંગ્રેસે પાલનપુર શહેર માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક વચનો આપવામાં આવ્યા છે. આ મેનિફેસ્ટોમાં પાણી, ગટર અને રોડ-રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી, મોહલ્લા ક્લિનિક્સ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ જેવા મહત્વના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પાલનપુર નગરપાલિકા માટે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, તેમાં પાયાની સુવિધાઓથી વંચિત લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં ગટર, રોડ અને પાણીના જે પ્રશ્નો છે, તેના કાયમી સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની નગરપાલિકા પ્રતિબદ્ધતાથી કામ કરશે. ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે શહેરના 11 વોર્ડમાં 'મોહલ્લા ક્લિનિક' શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવશે અને તેમને સારા કોચિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. દર ત્રણ મહિને દરેક વોર્ડમાં 'લોકસંવાદ' યોજીને પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ લાવવામાં આવશે. લોકોને નગરપાલિકા આવ્યા વિના ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાશે. કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવશે, જેથી લોકોને ટેન્ડર સંબંધિત તમામ માહિતી સરળતાથી મળી રહે. હાલમાં 'ટકાવારી' વગર કોઈ ટેન્ડર ખુલતા નથી તેવી પ્રવર્તમાન સ્થિતિને બદલીને પારદર્શક અને સારો વહીવટ આપવાનો પ્રયાસ રહેશે.
વિજ્ઞાન અને કલાના અનોખા સંગમથી સુરતના એક યુવા ઇનોવેટરે ફરી એકવાર આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર 'ક્રિએટિવ સાયન્સ' તરીકે જાણીતા શિવમ મૌર્યએ એક એવી સાયકલ બનાવી છે જે ચાલક વગર રસ્તા પર દોડે છે. આ સાયકલને જોતા એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ચલાવી રહી છે, જેના કારણે લોકો તેને 'ઘોસ્ટ સાયકલ' તરીકે ઓળખાવી રહ્યા છે. યુવકની ત્રણ મહિનાની મહેનત અને AIનો જાદુશિવમ મૌર્ય અને તેમના સાથી ગુરપ્રીત અરોડાએ સતત 3 મહિનાની સખત મહેનત બાદ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયકલ તૈયાર કરી છે. અંદાજે 35 હજાર રૂપિયાના ખર્ચે બનેલી આ સાયકલ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતાનો નમૂનો છે. આ સાયકલ રસ્તા પર પોતાની જાતે સંતુલન જાળવે છે અને પૂર્વ-નિર્ધારિત રસ્તા પર કોઈ પણ માનવીય મદદ વગર ચાલે છે. ભૂતિયો અહેસાસ કરાવતું એનિમેટેડ પેડલિંગઆ પ્રોજેક્ટની સૌથી આકર્ષક બાબત તેનું પેડલિંગ મિકેનિઝમ છે. સાયકલમાં માણસના પગ જેવું જ એક સ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું છે. જ્યારે સાયકલ ચાલે છે ત્યારે તે પગ બિલકુલ કુદરતી રીતે પેડલ મારતા હોય તેવું દેખાય છે. 'બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા'શિવમ જણાવે છે કે, જ્યારે અમે આ સાયકલને રસ્તા પર ટેસ્ટિંગ માટે લઈ ગયા, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ખાસ કરીને બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા, કારણ કે સાયકલ પર કોઈ બેઠું નહોતું છતાં પેડલ જાતે ફરી રહ્યા હતા. મોબાઇલ એપ અને રિમોટથી સંચાલન થાય છેઆ 'ઘોસ્ટ સાયકલ' ત્રણ અલગ-અલગ રીતે નિયંત્રિત કરી શકાય છે. તેને સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરી શકાય છે, રિમોટ કંટ્રોલથી ચલાવી શકાય છે અથવા ચોક્કસ રૂટ માટે કોડિંગ (AI મેપિંગ) કરીને તેને સંપૂર્ણ ઓટોમેટિક મોડ પર મૂકી શકાય છે. તેમાં લગાવેલા સર્કિટ્સ અને સેન્સર્સ તેને રસ્તા પર વળાંક લેવામાં અને અડચણો ઓળખવામાં મદદ કરે છે. કોણ છે ઇનોવેટર શિવમ મૌર્ય?શિવમ મૌર્ય ડિજિટલ દુનિયામાં જાણીતું નામ છે. તેમની યુટ્યુબ ચેનલ 'Creative Science' પર 20 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ પહેલા પણ તેઓ ડ્રાઈવર વગરની 'ગરુડા AI બાઇક' બનાવીને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂક્યા છે. શિવમના મતે, આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી, મોટા કેમ્પસમાં સિક્યુરિટી પેટ્રોલિંગ અને પ્રદૂષણ મુક્ત સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય તેમ છે. દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામઆ પ્રયોગ પાછળની ક્રિએટિવ સાયન્સ સંસ્થા આઠથી દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામ કરી રહી છે. ડ્રાઇવરલેસ બાઇક, એક ટાયર સ્કૂટર, રોબોટ રિક્ષા અને કેપ્સ્યુલ કાર જેવા પ્રોજેક્ટ અગાઉ રજૂ થઈ ચૂક્યા છે. સુરતમાં નવીન શોધોની શ્રેણી યથાવતસુરત શહેરમાં આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રસ વધારી રહી છે અને યુવાનોને નવી દિશા તરફ પ્રેરણા આપી રહી છે. આવા પ્રયોગો માત્ર પ્રદર્શન પૂરતા નહીં રહેતા. ભવિષ્યમાં શહેરના ટ્રાન્સપોર્ટ અને સ્માર્ટ સિટી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે.
જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ અંતર્ગત દરેડ અને મસીતિયા વિસ્તારોમાં સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી. અને પંચ બી. ડિવિઝનના સ્ટાફે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન મોટર વાહન અધિનિયમ (MV Act) કલમ 207 હેઠળ 10 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે MV Act હેઠળ 18 એન.સી. (નોન-કોગ્નિઝેબલ) કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, દારૂબંધીને લગતા 2 કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને 10 નીલ રેઈડ હાથ ધરવામાં આવી હતી. પોલીસે 15 બુટલેગરના રહેઠાણોની પણ ચકાસણી કરી હતી. આ ઉપરાંત, 5 ટપોરીઓની તપાસ, 3 હિસ્ટ્રીશીટરોની ચકાસણી અને 4 એમ.સી.આર. (મૂવમેન્ટ કંટ્રોલ રજિસ્ટર) ચેકિંગ પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી એલ.સી.બી., એસ.ઓ.જી. અને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સંકલિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવી કોમ્બિંગ ડ્રાઈવ ચાલુ રાખીને કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના H બ્લોકના પાર્કિંગમાંથી કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો છે. તેઓ છૂટક મજૂરી કામ કરીને કોમન પાર્કિંગમાં જ રહેતા હતા. પોલીસે હત્યાની આશંકાએ વધુ તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી 80 મીટરના રિંગ રોડ અને ટીપી-ડીપી સ્કીમના વિરોધમાં 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ મળતા આંદોલનકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુખ્યમંત્રીએ ખેડૂતોની મુખ્ય માંગણીઓને સ્વીકારી લેતા કુકસ ગામે મળેલી સભા બાદ આંદોલન ચાલુ કે બંધ રાખવા વિચારણા કરવામાં આવશે. 80 મીટરના રિંગ રોડના મુસદ્દાને રદ કરવાની ખાતરીબેઠકની વિગતો મુજબ મુખ્યમંત્રીએ ખેડૂતોની સૌથી મોટી માંગ એવા 80 મીટરના રિંગ રોડના મુસદ્દાને રદ કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત અગાઉ જે ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, તેને પણ રદ કરીને ફરીથી એગ્રીકલ્ચર ઝોનમાં સમાવી લેવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોની જમીન ન કપાય તે માટે સરકારે આ રસ્તો કર્યોનવી ટીપી સ્કીમની રચનામાં ખેડૂત સમિતિને સાથે રાખવાની પણ ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોની જમીન ન કપાય તે માટે એક વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે, જેમાં નવી જમીન સંપાદિત કરવાના બદલે ગામડાંના જૂના રસ્તાઓ અને પ્રધાનમંત્રી સડક યોજનાના હાલના માર્ગોને પહોળા કરીને ટીપીમાં સમાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 'જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી'ખેડૂત સમિતિના આગેવાન રતિલાલ પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથેની આ વાટાઘાટોમાં ખેડૂતોને પ્રથમ મોટી જીત મળી છે. મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં સકારાત્મક વલણ દાખવીને જમીન બચાવવા માટેનો મહત્વનો નિર્ણય લીધો છે. જોકે આ આંદોલન માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા લાદવામાં આવતા ટેક્સ અને અન્ય પ્રશ્નો અંગે સમિતિ પોતાની કાયદેસરની લડત ચાલુ રાખશે અને જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી રાખશે. શું ખેડૂતો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરશે?ચૂંટણી બહિષ્કારના મુદ્દે સમિતિએ કોઈ સામૂહિક આદેશ થોપવાના બદલે લોકશાહી ઢબે નિર્ણય લેવાનું પસંદ કર્યું છે. સમિતિના જણાવ્યા અનુસાર ચૂંટણીના બહિષ્કાર અંગેનો અંતિમ નિર્ણય જે-તે ગામ પર છોડવામાં આવ્યો છે. 14 ગામના ખેડૂતો પોતપોતાના ગામમાં સભા યોજીને ચૂંટણી બહિષ્કાર કરવો કે નહીં તે અંગેનો સ્વતંત્ર નિર્ણય લેશે. આમ આંદોલન સ્થગિત હોવા છતાં ખેડૂતોના અન્ય સ્થાનિક પ્રશ્નો અંગેની લડત યથાવત રહેશે.
પાટણના કુણઘેરથી સબોસણ જતા માર્ગ પર બાઇક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક આધેડનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. પાટણ તાલુકા પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સવારે લગભગ 11:30 વાગ્યાના અરસામાં કુણઘેરથી આશરે 2 કિલોમીટર દૂર સબોસણ રોડ પર બન્યો હતો. પાટણના મોતીસા દરવાજા પાસે આવેલી સતકેવલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પટણી અને તેમના પત્ની જ્યોત્સનાબેન પોતાનું એક્ટિવા (GJ-24-Q-3449) લઈને જઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક મોટરસાયકલ (GJ-24-AK-7772) ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા પર સવાર દંપતી રોડની બાજુમાં ફેંકાઈ ગયું હતું. અકસ્માત બાદ પ્રકાશભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનને પણ માથા અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ થતાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈ કાંતિભાઈ પટણીનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પુત્ર વિશાલભાઈ પટણીની ફરિયાદના આધારે, પાટણ તાલુકા પોલીસે મોટરસાયકલ (GJ-24-AK-7772) ના ચાલક વિરુદ્ધ B.N.S.S. ની કલમ 281, 106(1), 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર લાલસંગજી બાબુજી દરબાર આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર: ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ZFTI) અને બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ કલેક્ટર જી.એચ. સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાતમાં ZFTIના સ્થાપક અધ્યક્ષ કિશોરસિંહ ઝાલા, સ્થાપક પ્રમુખ કમલેશભાઈ રાવલ, ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરિયા, પ્રમુખ નરેશભાઈ કેલા, સેક્રેટરી કેકીન ગણાત્રા, લીગલ સેલ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ટ્રેડ સેલ ચેરમેન બાબુલાલ પ્રજાપતિ, પ્રોફેશનલ સેલ ચેરમેન સંજયભાઈ, ચીફ એડમિન અશ્વિનભાઈ પારેખ અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ કે. સી. શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુલાકાત દરમિયાન, ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ નરેશભાઈ કેલાએ જિલ્લાની માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે વિશાળ તકો ઉપલબ્ધ છે. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ, વેપાર વૃદ્ધિ, રોજગાર સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.ઝાલાવાડ ફેડરેશને જિલ્લાના સર્વાંગી વિકાસમાં સક્રિય સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે જિલ્લાના આર્થિક અને સામાજિક ઉત્થાન માટેના વિવિધ પાસાઓ પર ભાર મૂક્યો. કલેક્ટર સોલંકીએ ઝાલાવાડ ફેડરેશનના પ્રયત્નોને બિરદાવ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે ઉદ્યોગ અને વેપાર જગત સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.આ મુલાકાત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સહકાર અને સંકલનના નવા અધ્યાયની શરૂઆતરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
વડોદરામાં મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને ભારે રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ વોર્ડ નં. 5 કિશનવાડી વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ સમયે એક યુવકે તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી ભાજપના નેતાએ યુવક સાથે મારે મારી કરી હતી.'એ શાંતિ રાખજે' કહીને ધક્કો મારી ઝપાઝપી કરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લોકો બોલે છે, બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે. નેતાએ યુવકને ધક્કો મારી દીધો, ઝપાઝપી કરી વોર્ડ નં. 5માં કિશનવાડી વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક યુવકે ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલને કહ્યું હતું કે, અમે ગમે તે પક્ષમાંથી લડીએ. અમે આટલા વર્ષોથી ભાજપને સપોર્ટ કરતા આવ્યા હતા અને તમારા માટે લડ્યા હતા. આપણે એક પરિવાર છીએ. પણ તમે મને શું કહ્યું કે, મારી પત્નીએ આપમાંથી ફોર્મ કેમ ભર્યું ? આ દરમિયાન ભાજપના નેતા યોગેશ પરમાર યુવક સામે ઉશ્કેરાઈ ગયા હતા અને યોગેશ પરમારે કહ્યું હતું કે, એ શાંતિ રાખજે અને યુવકને ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ અન્ય લોકો વચ્ચે પડ્યા હતા. 'અમારી પાસે પેલા લુખ્ખાને લઈને આવ્યા છે'આ દરમિયાન કેટલાક લોકો વિડિઓમાં બોલે છે કે, અમારી પાસે પેલા લુખ્ખાને લઈને આવ્યા છે. બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે. આ સમયે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એક મહિલા પણ નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કરતી જોવા મળી હતી. જેને પગલે નેતાઓએ ત્યાંથી ચાલતી પકડી હતી. ભાજપના ઉમેદવારો પર લોકોનો રોષઆ પહેલા પણ ઘણા બધા વોર્ડમાં આ પ્રકારે ભાજપના ઉમેદવારો અને નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેથી કહી શકાય કે આ વખતે ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સીની અસર જોવા મળી રહે છે. ક્યાં ટિકિટને લઈને તો ક્યાંક કામગીરી ન થતા ઉમેદવારોએ રોષનો ભોગ બનવુ પડી રહ્યો છે.
સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખસોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 3,06,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કાર્યવાહીસાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ક્રાઈમ ડ્રાઈવ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, હિંમતનગર RTO નજીક આવેલા રોયલ પાર્ટી પ્લોટ પાછળ બાવળની ઝાડીઓમાં કેટલાક શખસો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા 8 શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. જપ્ત કરાયેલો મુદ્દામાલ રોકડ રકમ (દાવ પરથી): 3,200 રોકડ રકમ (અંગઝડતી): 13,750 મોબાઈલ ફોન (8 નંગ): 40,000 વાહનો (5 નંગ): 2,50,000 કુલ મુદ્દામાલ: 3,06,950 ઝડપાયેલા શખસોની યાદી પોલીસે પકડાયેલા તમામ શખસો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 8 શખસ ઝડપાયા છે: અલ્તાફ કાલુમીયા મલેક - રહે. અંબર સિનેમા રોડ, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર. સાહિલ સીરાજભાઇ શેખ - રહે. અજમેરી પાર્ક, પરબડા, હિંમતનગર. સમીર સીરાજભાઇ શેખ - રહે. અજમેરી પાર્ક, પરબડા, હિંમતનગર. રહેમાન અકબરઅલી દીવાન - રહે. પરબડા, તા. હિંમતનગર. રમીજ મહોમદરફીક શેખ - રહે. આસીયાના સોસાયટી, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર. સાહનવાજ સીરાજુદ્દીન શેખ - રહે. ચાંદનગર, હિંમતનગર. સોહીલસા હાસમસા દિવાન - રહે. પરબડા, તા. હિંમતનગર. સાહિલ સાકીરભાઈ મકરાણી - રહે. ચીસ્તીયાનગર, પરબડા, હિંમતનગર.
ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર અજય વસંતાની સામે આંગડિયા હવાલા મારફતે 50 લાખથી વધુની રકમની ગેરકાયદે હેરાફેરીનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી છે. આ મામલે ગોધરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલો શું છે?પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમેદવાર અજય વસંતાની, પક્ષના સક્રિય કાર્યકર્તા રમણ બારીયા અને દર્શિત સોનીએ અન્ય મળતીયાઓ સાથે મળી છેલ્લા 15 દિવસમાં ગોધરાની 'પી.એમ. આંગડિયા' અને 'વી. પટેલ આંગડિયા' પેઢીઓ મારફતે અંદાજે 50 લાખથી વધુના હવાલા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને લોભ-લાલચ અને પ્રલોભન આપવા માટે કરવામાં આવ્યો હતો. રાજ્યવ્યાપી કૌભાંડની શંકાઆ નાણાકીય હેરાફેરીના તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં અન્ય જિલ્લાના વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ આંગડિયા પેઢીઓના રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. રાજકીય ષડયંત્રનો વળતો દાવોબીજી તરફ, આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા AAP ઉમેદવાર અજય વસંતાનીએ જણાવ્યું હતું કે, આ તમામ આરોપો પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી સમયે તેમની છબી ખરડવા માટે આ પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આમાં કોઈ સત્યતા નથી. ચૂંટણી પૂર્વે જ આટલી મોટી રકમની હેરાફેરીનો મામલો સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જંગમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યની 15 નવી બનેલી મહાનગરપાલિકામાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે, ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલની આ ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા વોર્ડ નં. 6ની. વોર્ડ નં. 6 નો ભૌગોલિક અને રાજકીય પરિચય આ વોર્ડમાં બોળા તળાવ, ચામુંડા પાર્ક, કુમકુમ સોસાયટી, મહાદેવ મંદિર, આનંદ પાર્ક, પ્રાઇમરી સ્કૂલ વિસ્તાર, સંકલ્પ વિદ્યાલય અને મારૂતિ પાર્ક જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પરંપરાગત રીતે ભાજપનું એકહથ્થુ શાસન રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ આ વખતે 'આમ આદમી પાર્ટી' (AAP)ના આગમનથી મુકાબલો ત્રિપાંખીયો બન્યો છે. જો ભાજપે પોતાની વિજય પતાકા જાળવી રાખવી હોય તો, ખાસ કરીને 'આપ' દ્વારા થતા મત વિભાજનને રોકવા માટે મજબૂત વ્યુહરચના બનાવવી પડશે. ગ્રાઉન્ડ રિયાલિટી: સમસ્યાઓનો અંબાર વોર્ડ નં. 6ના સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, ચૂંટણી આવે એટલે નેતાઓ આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ચોમાસમાં નરકની જેવી સ્થિતિ સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદ આવે એટલે વોર્ડના રસ્તાઓ કાદવ-કીચડ અને મોટા ખાડાઓથી ભરાઈ જાય છે. સ્થિતિ એટલી કફોડી હોય છે કે, જાણે વરસાદમાં હોડી મંગાવવી પડે! પાણી કમર સુધી ભરાય છે અને ચોમાસુ પૂરું થયા પછી પણ પાણીનો નિકાલ થતો નથી. શાળા નં-13ની દુર્દશા, બાળકોના ભવિષ્ય સાથે ચેડાં આ વોર્ડના ગરીબ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. શાળા નં-13 બંધ થઈ જવાથી, આ વિસ્તારના બાળકોએ 5 કિમી દૂર આવેલી શાળા નં-17માં ભણવા જવું પડે છે, જેમાં તેમને જોખમી રીતે રોડ ક્રોસ કરવો પડે છે. ખુલ્લી ગટરો અને પાણીની સમસ્યા ગટરોના ઢાંકણા ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય રહે છે. પાણીની પણ ભારે તકલીફ છે; લોકોને પીવાના પાણી માટે ટેન્કર મંગાવવા પડે છે. આ વોર્ડના પાછળના વિસ્તારમાં રહેતા મજૂર વર્ગનું પણ ભારે શોષણ થઈ રહ્યું છે. 12 કલાકની મજૂરી કરાવીને માત્ર 300 રૂપિયા આપવામાં આવે છે, જે ગરીબો માટે અન્યાયી છે. આંકડાકીય વિશ્લેષણ: મતદારો અને વસ્તી મહાનગરપાલિકા બન્યા બાદ આ વોર્ડનું માળખું બદલાયું છે. નોંધપાત્ર છે કે, વોર્ડ નં. 6માં ગત વર્ષોની સરખામણીએ 1,205 મતદારનો ઘટાડો નોંધાયો છે. આ ઘટતા મતદારોની ખાધ પૂરવા માટે તમામ પક્ષોએ નવા ઉમેરાયેલા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બેઠકોનું અનામત માળખું: નાગરિકોનો આક્રોશ: શું કહે છે સ્થાનિકો? સુરેન્દ્રનગર વોર્ડ નં. 6ના લોકો પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. ભાજપનો ગઢ હોવા છતાં, પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને સ્થાનિકોનો આક્રોશ આગામી ચૂંટણીમાં મતદાન પર અસર કરી શકે છે. જો ભાજપે સત્તા જાળવી રાખવી હોય અથવા કોંગ્રેસ-AAPએ પોતાની પકડ મજબૂત કરવી હોય, તો આ વોર્ડમાં 'વિકાસ'ના કામોની ચોક્કસ ખાતરી આપવી અનિવાર્ય બની રહેશે. ---- આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… વોર્ડ નં. 4 માં સુવિધાઓના નામે 'મીંડું' વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. વોર્ડ નંબર 4નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… વોર્ડ-8માં સાસુ 'આપ'માં તો વહુ 'ભાજપ'માં એપ્રિલના આકરા તાપની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનો પારો પણ સાતમાં આસમાને છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચેની રસાકસીની સાથે જ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જેમાં વોર્ડ નં. 8નો રાજકીય જંગ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. સુરેન્દ્રનગરના વોર્ડ નં. 8માં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ લડાઈ એટલા માટે ખાસ છે કારણ કે, અહીં 'આપ'ની ટિકિટ પર સાસુ રેખાબેન થરેશા અને ભાજપની ટિકિટ પર વહુ હીનાબેન થરેશા ચૂંટણીના મેદાનમાં સામસામે છે. જોકે, બંને ઉમેદવારોનું માનવું છે કે, આ એક લોકશાહી પ્રક્રિયા છે અને અંતે વિસ્તારનો વિકાસ જ મહત્વનો છે. વોર્ડ નંબર 8નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'વઢવાણને સ્મશાન બનાવી દીધું' સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની તમામ મહત્વની સંસ્થાઓ પર ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નં. 12માં આ વખતે રસ્તો આસાન નથી. વોર્ડ નંબર 12નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'અમે શહેરનો ભાગ છીએ કે નહીં?' સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ભલે જામ્યો હોય, પણ વોર્ડ નં. 13ની ગલીઓમાં ફરતી વખતે જે અનુભવાય છે તે રાજકીય ઉત્સાહ નથી, પણ વર્ષોથી દબાયેલી વેદના અને તંત્ર પ્રત્યેનો ગહેરો આક્રોશ છે. ભોગાવાના કાંઠેથી લઈને સંસ્કાર કેન્દ્ર સ્કૂલ અને રસાલા સ્કૂલ સુધીના વિસ્તારોમાં રહેતા લોકો એકસૂરે એક જ વાત કરી રહ્યા છે: વહીવટી તંત્રના મતે અમે કદાચ શહેરનો હિસ્સો જ નથી. વોર્ડ નંબર 13નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે. આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતમાં સભા ગજવશે. તો રાજકોટમાં ફરી એકવાર ક્ષત્રિય આંદોલનની યાદો તાજી થવાની સંભાવના છે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકામાં રહેતા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર હોય તેના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ બોટાદ અને ભાવનગરમાં પ્રચાર કરશેમુખ્યમંત્રી આજે બોટાદ અને ભાવનગર જિલ્લાના અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન સાળંગપુર હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજમાં રોડ શો યોજશે. માંડવીયા અને રૂપાલા સુરતમાં સભા ગજવશેપાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પ્રચારની ધૂરા સંભાળશે. માંડવીયા મોટા વરાછાના શિવધારા ચોકમાં સભા સંબોધશે. જ્યારે રૂપાલા ધરમનગર રોડ સ્થિતિ જલક્રાંતિ મેદાનમાં બે અલગ અલગ સભા સંબોધશે. રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલનરાજકોટના વોર્ડ નંબર 10માં આજે સાંજે 6 વાગ્યે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકા માં રહેલા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર. 10 ના કોંગ્રેસના ઉમેદવાર છે.. કોંગ્રેસના ઉમેદવાર ભાર્ગવીબા ગોહિલને જીતાડવા માટે આવતીકાલે તૃપ્તિબા રાઓલ સહિતના ક્ષત્રિય મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
પહેલગામ હુમલાની આતંકી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. દેશભરમાં હાહાકાર મચાવતીઆ આતંકી ઘટનામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં બે લોકો ભાવનગરના હતા. ભાવનગરથી પરિવાર સાથે ફરવા ગયેલા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત થયું હતું. હુમલાની પ્રથમ વરસી આવતા જ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પરિવારના જખમો તાજા થયા છે.ઘટનાના એક વર્ષ બાદ પણ પરિવારના સભ્યો માનસિક આઘાતમાંથી બહાર આવ્યા નથી. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને ગુમાવનાર કિરણબેનની તબિયત લથડતા સારવાર માટે ખસેડવા પડ્યા હતા. કિરણબેને ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ સરકારે આર્થિક સહાય કરી છે. પરંતુ, પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનું જે વચન આપ્યું હતું તે હજી અધૂરું છે. કિરણબેને વધુમાં જણાવ્યું કે,મારે એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળીને આભાર માનવો છે કે તેમણે મારા પરિવારના હત્યારાઓને સજા આપી'. 'સમય વીતી ગયો પણ અમારી જિંદગીમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં'22 એપ્રિલ, 2025. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમાર પણ હતા. આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે ત્યારે એક વર્ષ પહેલાની ઘટનાને યાદ કરી પરિવારજનોની આંખો ભરાઈ આવે છે. પતિ અને પુત્રને ગુમાવનાર મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે, સમય વીતી ગયો છે, પણ અમારી જિંદગીમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં. જૂની યાદો તાજી થતા કિરણબેનની તબિયત લથડીઆ અંગે દિવ્ય ભાસ્કર માતા કિરણબેન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,પતિ અને પુત્રના મૃત્યુનો આઘાત તેમના મગજમાંથી જતો નથી. આ માનસિક તણાવને કારણે તેમને વારંવાર છાતીમાં દુખાવો અને બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ થાય છે. તાજેતરમાં જ તેમને કાળિયાબીડ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ જેમ-જેમ આ ઘટનાનું વર્ષ પૂરું થવા આવ્યું છે, તેમ-તેમ જૂની યાદો તાજી થતા તેમની હાલત વધુ બગડી રહી છે. 'સરકારે આર્થિક સહાય કરી પણ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો અધૂરો'ઘટના સમયે અનેક મોટા નેતાઓ અને પદાધિકારીઓએ પરિવારની મુલાકાત લીધી હતી, તે સમયે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, પરિવારને આર્થિક સહાય અને ઘરના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.કિરણબેને જણાવ્યું કે, સરકારે અમને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે, જે બદલ અમે આભારી છીએ.પરંતુ, તે સમયે મને અને મારા દીકરાને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. મેં ઘણી દોડાદોડ કરી, પણ હજી સુધી નોકરી બાબતે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી, મારો નાનો દીકરો અત્યારે લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરી રહ્યો છે, જો તેને નાની એવી નોકરી મળી જાય તો અમારું જીવન સુધરી જાય. મહિલાએ સરકારનો આભાર માનવા વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યકત કરીભીની આંખે માતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની એક ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની છે તેઓ વડાપ્રધાનનો આભાર માનવા માંગે છે, કારણ કે આતંકી હુમલા બાદ 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાબદાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી સરકારે ન્યાય અપાવ્યો હતો. કિરણબેને કહ્યું- 'સાંસદ હંમેશા ફોન કરી ખબરઅંતર પૂછતા રહે છે'હાલમાં કિરણબેન અને તેમનો પુત્ર તેમના દિયર (પતિના નાના ભાઈ) સાથે રહી રહ્યા છે, પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને વૃદ્ધ સાસુ-સસરા પણ પુત્ર અને પૌત્રના નિધનથી ઊંડા આઘાતમાં છે. રાજકીય સહકાર અંગે વાત કરતા મહિલાએ જણાવ્યું કે, નીમુબેન બાંભણિયા અને ભાજપના અન્ય નેતાઓ ફોન દ્વારા સતત સંપર્કમાં રહે છે અને ખબર-અંતર પૂછે છે, જેનો અમને મોટો આધાર છે. પહેલગામ આતંકી હુમલામાં કૂલ ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા હતાએક વર્ષ પહેલા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કૂલ 26 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ભાવનગરના યતીશ પરમાર અને તેનો પુત્ર સ્મિત પરમાર ઉપરાંત મૂળ સુરતના શૈલેષ કળથિયાનું મોત નિપજ્યું હુતું.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
માંજલપુર વિધાનસભાના વોર્ડ-17માં ટિકિટ વહેંચણી અને ચૂંટણી ખર્ચ મુદ્દે યોગેશ પટેલ અને જીતુ સુખડિયા બાખડ્યા છે. યોગેશ પટેલે વોર્ડ-17ને ‘શ્રાપિત’ ગણાવી કહ્યું કે, ‘અહીં હંમેશા બહારના ઉમેદવારો જ થોપાય છે. આયાતી ઉમેદવાર ચૂંટણી લડે તો કાર્યાલયનો ખર્ચ પોતે જ ઉપાડવો પડશે, બાકી કાર્યાલય બંધ કરી શે.♠’ જીતુ સુખડિયાએ કહ્યું કે, તેમનો પુત્ર હિરેન 35 વર્ષથી આ જ વોર્ડમાં રહે છે, કાર્યાલય પાર્ટી ચલાવે છે, યોગેશ કાકા નહીં. કોણ કેટલો ખર્ચ કરશે તે પણ પક્ષ નક્કી કરશે. યોગેશ પટેલ જેવા સિનિયર નેતા ફ્રસ્ટ્રેટ કેમ છે તે સમજાતું નથી. અનુભવે મિત્ર બદલાઈ ગયા છે, મિત્રતાની ખબર તો સમય આવે જ પડે છે.’ ધારાસભ્ય યોગેશ પટેલના આકરા પ્રહાર ખર્ચનો મુદ્દો: બહારથી ચૂંટણી લડવા આવતા આયાતી ઉમેદવારોએ કાર્યાલયનો ખર્ચ ઉપાડવો પડશે. અલ્ટિમેટમ: ખર્ચ નહીં ચૂકવાય તો વોર્ડ-17નું કાર્યાલય બંધ કરવા ચીમકી શ્રાપિત વોર્ડ: વોર્ડ-17 શ્રાપિત છે, કારણ કે અહીં દર વખતે પાર્ટી સ્થાનિકને બદલે બહારના ઉમેદવારો (આયાતી) જ મૂકે છે. ઉમેદવારોનું લિસ્ટ: કનુ ભરવાડ, અલ્પેશ લિમ્બાચિયા, શૈલેષ પાટીલ અને હવે હિરેન સુખડિયા બધા બહારના છે. ટિકિટ વહેંચણીમાં ગોલમાલ: ટિકિટ વહેંચણીમાં શું રમત થઈ છે તે હું બધું જ જાણું છું અને યોગ્ય સમયે તેનો ખુલાસો કરીશ. કાર્યકરોની નારાજગી: મારા વોર્ડના નિષ્ઠાવાન કાર્યકરો દુઃખી છે. 3 પ્રબળ દાવેદારો હતા પણ તેમને 60 વર્ષના નિયમમાં કાઢી મૂકાયા. બેઠકો પર દાવો: વિવાદ છતાં, મારા વિધાનસભા હેઠળની તમામ 12 બેઠકો ભાજપ જ જીતશે. પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાનો પલટવાર સ્થાનિક હોવાનો પુરાવો: મારો પુત્ર હિરેન 35 વર્ષથી વોર્ડ નં. 17માં જ રહે છે, તેને આયાતી કહેવો પાયાવિહોણું છે. પક્ષ સર્વોપરી: ચૂંટણી કાર્યાલય પાર્ટીના નામે ચાલે છે, યોગેશ પટેલની વ્યક્તિગત માલિકીનું નથી. ખર્ચ અંગે સ્પષ્ટતા: કોણ ખર્ચ આપશે તે સંગઠન, પાર્ટી નક્કી કરશે, યોગેશ પટેલનું મનસ્વીપણું નહીં ચાલે. ફ્રસ્ટ્રેશન પર સવાલ: યોગેશ પટેલ જેવા સિનિયર નેતા આટલા બધા ફ્રસ્ટ્રેટ કેમ થયા છે તે સમજાતું નથી. મિત્રતામાં તિરાડ: અનુભવે હવે મિત્રો બદલાઈ ગયા છે. મિત્રતાની સાચી ખબર મુશ્કેલ સમય આવે ત્યારે જ પડે છે. જવાબદારીની વાત: મારી અને શબ્દશરણ બ્રહ્મભટ્ટની જવાબદારી આખા વડોદરા શહેરની છે, જ્યારે યોગેશ કાકાની જવાબદારી માત્ર તેમના વિસ્તાર પૂરતી સીમિત છે. નિવેદન: તે (યોગેશ પટેલ) ગમે તે બોલે, હવે તેનાથી કોઈ ફરક પડવાનો નથી કે કશું વળવાનું નથી.
ફરિયાદ:ભાજપની ફેરણીમાં SC મોરચાના પ્રમુખની પૂર્વ કાર્યકર સાથે મારામારી
વડોદરાના વોર્ડ નં. 5માં કિશનવાડીમાં ભાજપની ફેરણીમાં અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખે પૂર્વ કાર્યકર સાથે મારામારી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. પૂર્વ કાર્યકરની પત્નીએ આમ આદમી પાર્ટીમાંથી ભરેલું ઉમેદવારી ફોર્મ રદ થવા અંગે રજૂઆત કરી હતી. દરમિયાન હોબાળા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વોર્ડ નં. 5માં કિશનવાડી પોલીસ ચોકી પાસે સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ અને ચાર ઉમેદવારો ફેરણીમાં હતા. તે સમયે ભાજપના પૂર્વ કાર્યકર હિતેશ રાઠોડે ડો. હિતેન્દ્ર પટેલને રોક્યા હતા. હિતેશ રાઠોડે પોતાની પત્નીનું ફોર્મ રદ કરાવવા મુદ્દે ઉગ્ર રજૂઆત શરૂ કરી હતી. રજૂઆત દરમિયાન ત્યાં હાજર અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ યોગેન્દ્ર પરમારે હિતેશ રાઠોડને ધક્કો માર્યો હતો, જેના કારણે ઝપાઝપી થઈ હતી. જોકે, અન્ય ઉમેદવારોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જાહેર રસ્તા પર થયેલા આ હુમલા અને ધક્કામુક્કીના દ્રશ્યો કેમેરામાં કેદ થતા વીડિયો વાઈરલ થયો છે, જેનાથી સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી હતી. એવું કેમ કહ્યું કે તારી પત્નીએ આપમાંથી ફોર્મ કેમ ભર્યું? તે પછી ઝપાઝપી થઇકિશનવાડીમાં ડો. હિતેન્દ્ર પટેલને મળીને હિતેશ રાઠોડે જણાવ્યું કે, ગમે ત્યાંથી ચૂંટણી લડીએ, અમે વર્ષો ભાજપમાં રહ્યા છીએ અને કાર્યકરો પરિવાર છે. છતાં તમે મને એવું કેમ પૂછ્યું કે તારી પત્નીએ ‘આપ’માંથી ફોર્મ કેમ ભર્યું? હું ક્યારેય અહીં પૈસા માટે આવ્યો નથી. હિતેશ રાઠોડ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે યોગેન્દ્ર પરમારે ‘કોઈ વાત નથી કરવી’ કહીને નેતાઓને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ઝપાઝપી થઇ હતી.
જામનગર શહેરના ગૌરવ સમાન એમ્યુઝમેન્ટ પાર્કમાં છેલ્લા પાંચ મહિનાથી એક પણ રાઈડ ચાલુ ન હોવાથી સ્થાનિકો અને ખાસ કરીને બાળકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અગાઉ અહીં ખાનગી પેઢી દ્વારા રાઈડ્સનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં જૂની પેઢીએ તમામ રાઈડ્સ હટાવી લીધી છે. પરિણામે, જે પાર્ક ક્યારેક બાળકોના કિલ્લોલથી ગુંજતો હતો, તે આજે વેરાન બની રહ્યો છે. હાલ બાળકો ઉનાળા વેકેશનમાં પાર્કમાં રાઈડ્સની મજા નહીં માણી શકે. એમ્યુઝમેન્ટ પાર્કમાં નવી રાઈડ્સ માટેની જામ્યુકો તંત્રના પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં સુરતની એક ગેમઝોન પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે. જોકે, નવા સંચાલકો દ્વારા હાલ એન.ઓ.સી. (NOC) મેળવવા, સહિતના નિયમોના પાલન માટે કાગળોની કામગીરી કરવામાં આવી રહી છે. આ વહીવટી પ્રક્રિયા જોતા હજુ પણ ચારેક મહિના સુધી રાઈડ્સ શરૂ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આમ, જામનગરના બાળકોએ મનોરંજન માટે હજુ લાંબી રાહ જોવી પડશે. માત્ર રાઈડ્સ જ નહીં, પરંતુ પાર્કમાં આવેલા સામાન્ય રમત-ગમતના સાધનો પણ હાલ બિસ્માર અને તૂટેલી હાલતમાં છે. બાગમાં આવતા મુલાકાતીઓ માટે બેસવા માટેના બાંકડા પણ પૂરતા નથી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ મિલકત જાળવણીના અભાવે જર્જરિત થઈ રહી છે. સુવિધાઓના અભાવે પાર્કમાં આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે. તંત્રની ધીમી ગતિને કારણે મનોરંજનના સાધનોથી વંચિત બાળકો અને વાલીઓમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે, નવી પેઢીને કોન્ટ્રાક્ટ મળી ગયો હોય તો વહીવટી મંજૂરીઓ વહેલી તકે પૂર્ણ કરી રાઈડ્સ શરૂ કરવામાં આવે. હાલ બાળકોના ઉનાળા વેકેશન શરૂ થયું છે. તેમ છતાં બાળકો આ એમ્યુઝમેન્ટ પાર્કમાં મનોરંજન માટેનની રાઈડ્સનો લ્હવો માણી શકશે. જામ્યુકો તંત્રની આ ઢીલી નિતીના કારણે બાળકોને આ વખતે મનોરંજનનો લ્હવો નહીં મળે. જેથી બાળકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. એમ્યુઝમેન્ટ પાર્કનો લાઈટીંગ ફુવારો લાંબા સમયથી બંધ હાલતમાં શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો રૂપિયાના ર્ખચે સુ-શોભન માટે લાઈટીંગ સાથેનો ફુવારો મુકવામાં આવ્યો છે. જે લાંબા સમયથી બંધ હાલતમાં છે, પાણીમાં પણ સેવાળ જામી ગયો છે. જેથી હાલ લાખોની કિંમતનો ફુવારાની હાલત અતિ ખરાબ છે.
લોકજાગૃતિ:કોર્પોરેશન વિસ્તારમાં વેસ્ટ કલેક્શનના વાહનોમાં ગીત વગાડીને મતદાન જાગૃતિની અનોખી પહેલ
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે તંત્ર દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે આવતા વાહનોમાં મતદાન જાગૃતિનું ગીત વગાડીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત દરરોજ વિવિધ વિસ્તારોમાં ફરતી વેસ્ટ કલેક્શનની ગાડીઓમાં મતદાન જાગૃતિ ગીતો પ્રસારિત કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે રસ અને જવાબદારીની ભાવના વિકસી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક મતદાર સુધી સરળ અને અસરકારક રીતે મતદાનનો સંદેશ પહોંચાડવાનો છે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સમાન્ય ચૂંટણીઓના તા.26-04-2026ના રોજ યોજાનાર મતદાનમાં વધુમાં વધુ લોકો મત આપી લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપે. શહેરના તમામ વિસ્તારો તેમજ ગલીઓમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી કચરા ગાડીઓ કચરો લઈ લીધા બાદ પણ તે વિસ્તારમાં ઘડીક ઉભી રહે છે, જેથી લોકો ગીત સાંભળીને મતદાન કરવા માટેની વાત કરવામાં આવતી હોવાનું સમજી શકે. હાલ શહેરમાં ચાલતી કચરા ગાડીઓમાં સવારે અને સાંજે બે સમયે વિસ્તારોમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવે છે.
જામનગર શહેરમાં સજુબા ગર્લ્સ સ્કુલ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં મંગળવારે સવારે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. વીજ કર્મચારીઓેએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વીજ પુરવઠો બંધ કરાવીને કામગીરી હાથ ધરી હતી. મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી બાજુ વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. આગ ટ્રાન્સફોર્મર પડેલા સુકા પાંદડામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું વીજ અધિકારીઓએ જણાવ્યું હતું. શહેરના સતત ટ્રાફીકથી ધમધમતા વિસ્તાર રણજીત રોડ પર આવેલી સરકારી સજુબા સ્કુલની નજીકમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં સવારમાં આગ ભભુકી ઉઠી હતી. તે વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. આ અંગેની પીજીવીસીએલ તંત્રને જાણ કરવામાં આવતા ટીમ ત્યાં પહોંચી હતી. તે વીજ ટ્રાન્સફોર્મર પરથી પસાર થતો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. દરબારગઢ સબ ડિવિઝનના અધિકારીઓ સહિતની ટીમે રીપેરીંગ કામ હાથ ધર્યુ હતું. ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ આગ બુઝાવી દીધી હતી. જે બાદ સમારકામ કરીને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો. તંત્રની સમય સુચકતાથી મોટી દુર્ઘટના અટકી હતી.
રહીશોમાં રોષ:રજૂઆત કરીએ તો ભાજપ ઢોલ વગાડી અવાજ દબાવે છે
શહેરના વોર્ડ 7માં સમાવિષ્ટ કારેલીબાગના આનંદનગરમાં મત માગવા ગયેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અંગે ઉમેદવારો પર સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લાં 10 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે અને વારંવારની રજૂઆત છતાં વરસાદી ગટરનું કામ કરવામાં આવતું નથી. જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યારે નેતાઓ ઢોલ વગાડીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. ભાજપના ઉમેદવારો અને કાર્યકરો સોમવારે પ્રચાર માટે આનંદનગર પહોંચ્યા ત્યારે વાતાવરણ ગરમાયું હતું. સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે, 10 વર્ષથી વરસાદી ગટર ન હોવાથી ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. એક વૃદ્ધે રોષે ભરાઈને જણાવ્યું કે, “અગાઉ જયંતી રાવજીએ વરસાદી ગટર મંજૂર કરાવી હતી, ત્યારબાદ કોઈ કામગીરી થઈ નથી. દર વર્ષે નેતાઓ હાથ જોડીને મત માગવા આવે છે, અમે તેમને મત આપીએ પણ છીએ, છતાં અમારાં કામ થતાં નથી.” આ ઉપરાંત મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પાણી ભરાવાની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કે નેતાઓ ધ્યાન આપતા નથી. આજે અમે હકીકત જણાવવા ગયા ત્યારે કાર્યકરોએ ઢોલ વગાડીને અમારી વાત સાંભળવાને બદલે અવાજ દબાવવાની કોશિશ કરી હતી.” રાવપુરા કાપડી પોળ-કોયલી ફળિયામાં વિરોધ થયો હતોવોર્ડ 7ના પૂર્વ કાઉન્સિલર અને ઉમેદવાર સાથે નવા ચહેરાઓ કોયલી ફળિયામાં વોટ માગવા પહોંચ્યા હતા. જ્યાં નારાજ મહિલાઓએ તેમને ઘેર્યા હતા. ભારે વિરોધ વચ્ચે તમામ ઉમેદવારો અને કાર્યકરોએ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. તે જ રીતે રાવપુરા કાપડી પોળમાં પણ ઊભરાતી ગટરથી પરેશાન મહિલાઓએ ઉમેદવારોને પકડી સવાલો પૂછતાં ઉમેદવારો ડઘાઈ ગયા હતા.
જૂનાગઢ કોર્પોરેશન સંચાલિત શહેરના એકમાત્ર સ્વિમિંગ પૂલને જનતા માટે ખુલ્લો મુકાતા જ200 પુરુષો, 40 મહિલાઓ અને 50 જેટલા બાળકો સભ્ય તરીકે નોંધાઇ ગયા છે. અહીંયાનવા પ્રવેશાર્થીઓએ કુલ 1400 ભરવાના રહે છે. જેમાં 100 ફોર્મ ફી, 100 આઈ કાર્ડ ફી અને 1200 ત્રણ મહિનાના કોચિંગની ફી નક્કી કરવામાં આવી છે. હાલમાં સ્વિમિંગ પૂલમાં ટ્રેનિંગ લઈ રહેલા સભ્યોમાં 6 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વડીલોનો સમાવેશ થાય છે. ખાસ કરીને દીકરીઓ માટે 10 વર્ષથી ઉપરની વયના ગ્રુપમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કરોડો ખર્ચ્યા પણ લાઈફ ગાર્ડનો અભાવ પૂલમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધો સ્નાન કરી રહ્યા છે, પરંતુ જો કોઈ ડૂબવાની ઘટના બને તો તેને બચાવવા માટે એક પણ લાઈફ ગાર્ડ તૈનાત નથી. માત્ર ટ્રેનરના ભરોસે જ આખું સંકુલ ચાલી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં પ્રાથમિક સારવાર માટે મેડિકલ કીટ છે પણ ઓક્સિજન સિલિન્ડર જેવા જીવનરક્ષક સાધનો નથી. તસવીર: મેહુલ ચોટલીયા
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જુડાની કચેરી પર જોખમ તોળાયું: ઈમારત ખાલી કરવા RBએ આખરી નોટિસ આપી
નવાબી કાળ અને અંગ્રેજોના શાસનકાળની સાક્ષી પૂરતો જુનાગઢનો ઐતિહાસિક પંકજ બંગલો જર્જરી થઈ ગયો છે. શહેરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઈમારતને અત્યંત ભયજનક જાહેર કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા જુનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (જૂડા) ને બીજી નોટિસ ફટકારીને તાત્કાલિક અસરથી કચેરી ખાલી કરવા કડક આદેશ આપવામાં આવ્યો છે. વર્ષાઋતુ નજીક હોય, આ જૂનું માળખું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે, જેના કારણે જાનહાનીનો મોટો ભય સેવાઈ રહ્યો છે. આ જ બિલ્ડીંગમાં કાર્યરત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીએ અગાઉની સૂચનાને ધ્યાને રાખીને સમયસૂચકતા વાપરી જગ્યા ખાલી કરી દીધી છે. માર્ગ અને મકાન વિભાગના પત્ર મુજબ, પંકજ બંગલોનું સ્ટ્રક્ચર એટલું જર્જરિત થઈ ગયું છે કે તે હવે વપરાશ યોગ્ય રહ્યું નથી. આસપાસથી પસાર થતા રાહદારીઓ અને કચેરીના સ્ટાફ પર સતત મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. વારંવારની લેખિત જાણ કરવા છતાં 'જૂડા' તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી કે જગ્યા ખાલી કરવાની તસ્દી લેવાઈ નથી. આર એન્ડ બી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો સમય મર્યાદામાં કબજો સોંપવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગના શિરે રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી જૂડાની કચેરી હજુ પણ આ જોખમી બિલ્ડીંગમાં જ ધમધમી રહી છે. તંત્ર દ્વારા અગાઉ 2023 માં પણ નોટિસ આપવામાં આવી હતી, છતાં પરિસ્થિતિ જસની તસ રહેતા હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2003 હેઠળ આ મામલે કડક કાર્યવાહીની તૈયારી બતાવવામાં આવી છે. કલેકટર, એસ. પી., કમિશનરને જાણ કરાઈઆ ગંભીર બાબતની જાણ જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક અને મ્યુનિસિપલ કમિશનરને પણ નકલ રવાના કરીને કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જુએ છે કે પછી સમય રહેતા આ ઐતિહાસિક બિલ્ડીંગને ખાલી કરાવી લોકોના જીવ બચાવે છે.
શહેરની સિવિલ હોસ્પિટલમાં એક 34 વર્ષીય મહિલા, જેમને અગાઉ ચાર નોર્મલ અને એક સિઝેરિયન ડિલિવરી થયેલી હતી, તેઓ તેમની છઠ્ઠી પ્રસૂતિ દરમિયાન જટિલ પરિસ્થિતિમાં મુકાયા હતા. ખાનગી હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુના ધબકારા બંધ થઈ જતાં તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સોનોગ્રાફીમાં બાળક મૃત જણાયું હતું અને માતાનો જીવ પણ જોખમમાં હતો. તાત્કાલિક તપાસ કરતા માલૂમ પડ્યું કે મહિલાનું ગર્ભાશય ફાટી ગયું હતું (Uterine Rupture) અને પેટમાં લોહીના થર જામી ગયા હતા. ગાયનેક વિભાગના વડા ડો. પ્રિયંકા જોગિયાના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે સમય સૂચકતા વાપરી તાત્કાલિક સિઝેરિયન ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન દર્દીને 4 બોટલ લોહી અને 8 બોટલ પ્લાઝ્મા (સફેદ લોહી) ચડાવવામાં આવ્યું હતું. તબીબોએ ભારે જહેમત બાદ ન માત્ર મહિલાનો જીવ બચાવ્યો, પરંતુ તેમનું ગર્ભાશય પણ સુરક્ષિત રાખ્યું હતું. ઓબ્સ્ટેટ્રિક્સ આઈ.સી.યુ.માં સઘન સારવાર બાદ 20 એપ્રિલના રોજ મહિલાને સાજા નરવા રજા આપવામાં આવી હતી. લોહીની 12 બોટલ ચડાવી જીવ બચાવ્યોગર્ભાશય ફાટી જવાથી દર્દીના પેટમાં અતિશય રક્તસ્ત્રાવ થયો હતો, જેના કારણે સ્થિતિ નાજુક બની હતી. ડોક્ટરોએ 4 બોટલ બ્લડ અને 8 બોટલ સફેદ લોહી ચડાવીને ઓપરેશન પાર પાડ્યું હતું. આઠ દિવસની સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. > ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, જૂનાગઢ
ભાસ્કર એક્સક્લુસિવ:લગ્નસરાની સિઝનમાં ગેસના બાટલાનું ગ્રહણફુલકા રોટી, પનીર સબ્જીના લાઇવ સ્ટોલ ગાયબ
યુદ્ધની અસર હજુ જૂનાગઢમાં જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન શરૂ થવા છતા ગેસની બોટલની અછતને કારણે મેનુમાં ફેરફાર થયો છે. જેમાં ફુલકા રોટી, ઢોસા, પંજાબી સબ્જી, સ્ટીમ ઢોકળા સહિતના લાઇવ સ્ટોલવાળી વાનગીનો ઘટાડો થયો છે. ગેસ એજન્સીમાંથી મળતી વિગત અનુસાર લગ્નની સિઝનમાં ગેસની બોટલી માંગમાં સતત વધારો જોવા મળતો હોય છે. પરંતુ યુદ્ધને કારણે નિયમમાં ફેરફાર અને અછતને કારણે લીમીટેડ માધ્યમાં જ ગેસની બોટલ મળી રહી છે. જેની અસર લગ્નસરાની સિઝનમાં પડી છે. હાલ બોટલ મળી જશે કે શું સહિતની ઇન્કવાયરીના ફોન પણ કેટરર્સ કે રસોયાના આવી રહ્યા છે. યુદ્ધની અસરને કારણે બાટલા વિતરણમાં નવા નિયમો આવ્યા છે. એટલે કે, પહેલા મહિનામાં બે વખત ધરેલુ ગેસ બુક થઇ શકતા હતા પરંતુ હવે બોટલ મળ્યાના 25 દિવસ પછી બીજો બુક થાય છે એટલે બે મહિનામાં બે જ બાટલા મળે છે. ઉપરાંત નાના-નાના રસોડામાં ઘરેલુ ગેસનો વપરાશ વધારે થતો હતો. દર વર્ષે લગ્નસરાની સિઝન શરૂ થાય ત્યારે 400 બાટલાની વધારે જરૂર રહે છે. હાલ તો રસોયા લોકો બોટલ ન મળવાથી ઓર્ડર પણ કેન્સલ કરી રહ્યા છે. ડિપોઝીટ એડવાન્સ દેવા પણ તૈયાર થયા છે. લગ્નસરાની સિઝન શરૂ થાય તેમાં દર વર્ષે ફુલ ઓર્ડર મળતા હોય છે અને લોકો વધુમાં વધુ વાનગીઓ રાખતા હોય છે. ખાસ કરીને લાઇવ હલવો, ફુલકા રોટી, પંજાબી જેવા લાઇવ સ્ટોલ રાખતા હોય છે પરંતુ ગેસના બાટલાની અછતથી આ સ્ટોલ દૂર કર્યા છે. ઉપરાંત દર વર્ષે જે 15થી વધુ ઓર્ડર હોય તે હાલ માત્ર 4 થી 5 થયા છે. - લાલાભાઇ કોટેચા, કેટરર્સ સંચાલક ક્વોટા સિસ્ટમથી મર્યાદા આવીસરકાર દ્વારા યુદ્ધને કારણે ક્વોટા સિસ્ટમથી બાટલાની ફાળવણી કરવાનુ નક્કી કર્યુ છે. જેેને કારણે હાલ લગ્નની સિઝનમાં દર વર્ષની જેમ પુરતી બોટલનુ વિતરણ કરી શકાતુ નથી. ક્વોટા સિસ્ટમથી જ જેટલુ નક્કી થયુ છે તે મુજબ જ રસોયા કે કેટરર્સ ધારકને બોટલની ફાળવણી કરાઇ રહી છે. > ભાવિન કારીયા, ગેસ એજન્સી મેનેજર
ફરિયાદ:બંધડામાં પત્નીએ પતિના ઘરમાંથી 3.90 લાખના દાગીના ચોરી ભાઈને આપી દીધા
વંથલીના બંધડા ગામે રહેતા જતીનભાઈ હરસુખભાઈ સોલંકીએ પોતાની જ પત્ની અને સાળા વિરુદ્ધ રૂપિયા 3.90 લાખના દાગીનાની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખેતી કામ કરતા 28 વર્ષીય જતીનભાઈની ફરિયાદ અનુસાર તેની પત્ની જાનવીબેન જાન્યુઆરી 2025માં સીમંત પ્રસંગ બાદ પિયર ગઈ હતી. તે સમયે તે પોતાની સાથે સ્ત્રીધન અને સોનાનો ચેન, પેન્ડલ સેટ, હાર, વીંટી સહિતના ઘરેણાં લઈ ગઈ હતી. જોકે, એપ્રિલ 2026માં જ્યારે જતીનભાઈના ઘરે અન્ય એક સામાજિક પ્રસંગ આવ્યો અને તિજોરી તપાસવામાં આવી, ત્યારે ખબર પડી કે સોનાના ઘરેણાં ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. યુવાને જ્યારે પત્નીને આ બાબતે પૂછ્યું, ત્યારે શરૂઆતમાં તેણે ગોળગોળ જવાબ આપ્યા હતા. બાદમાં સસરાના ઘરે કડકાઈથી પૂછતા જાનવીએ કબૂલાત કરી હતી કે તેના ભાઈ પ્રિતેશભાઈ રતિલાલ ચાવડાને પૈસાની જરૂર હોવાથી તેણે આ દાગીના તેને આપી દીધા હતા. આ સાંભળી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાના જ ઘરમાં પત્ની દ્વારા થયેલી આ ચોરી અંગે આખરે યુવકે સોમવારે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પત્ની અને સાળા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પહેલા ગોળ ગોળ જવાબ આપ્યો'તોયુવાને જ્યારે પત્નીને આ બાબતે પૂછ્યું, ત્યારે શરૂઆતમાં તેણે ગોળગોળ જવાબ આપ્યા હતા. બાદમાં સસરાના ઘરે કડકાઈથી પૂછતા જાનવીએ કબૂલાત કરી હતી કે તેના ભાઈ પ્રિતેશભાઈ રતિલાલ ચાવડાને પૈસાની જરૂર હોવાથી તેણે આ તમામ દાગીના તેને આપી દીધા હતા.
ચૂંટણીમાં મતદાન માટે મંત્ર:પહેલા મતદાન, પછી કામ પોરબંદર સ્વીપ ટીમનું જાગૃતિ અભિયાન તેજ બન્યું
આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ માટે સ્વીપ ટીમ સક્રિય બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની આગેવાનીમાં કુતિયાણા તાલુકાની ખાનગી ડેરી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ડેરી કર્મચારીઓએ અવશ્ય મતદાન કરશું તેવા શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન ડેરીના ચેરમેન, ડિરેક્ટર, પ્લાન્ટ મેનેજર તેમજ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ ઉપસ્થિત તમામને આવનારી ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા જાગૃતિ કાર્યક્રમમાં મતદાનના મહત્ત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. “દરેક મત દેશના ભવિષ્યને આકાર આપે છે” એ સંદેશા સાથે નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સ્વીપ ટીમના દિવ્યેશ ચંદ્રવાડિયા અને ચિંતન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વીપ ટીમના તમામ સભ્યોએ સંકલિત પ્રયાસો કર્યા હતા.
ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન:પોલીસ અમારી માય બાપ છે, હવે ભૂલ નહીં થાય '
પોરબંદરના આશાપુરા ચોકડી પાસે યુવાનોને ધાક ધમકી આપી બબાલ કરનાર આરોપીઓને એલસીબીએ ઝડપી પાડી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીઓએ હાથ જોડી માફી માંગી હતી. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતો પ્રતાપ રાજશી મોઢવાડીયા નામના યુવાનને તેના મિત્ર ભરતભાઈ મૈયારીયા સાથે સારા સબંધ હોય તે વાતનું મનદુ:ખ રાખી આરોપીઓ મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકીડોક નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામ કુછડિયા, કિશોર સાજણ ગુરગુટિયા અને કાંધલ ઓડેદરાએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે યુવાન પાસે જઈને પોતાની દુકાને ન આવવા કહેલ અને આરોપીઓએ યુવાનને બેફામ ભુંડી ગાળો કાઢી, પાંચેય આરોપીઓએ સાથે મળીને યુવાનને લાફાલુફી કરીને શરીરે ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજા પહોંચાડી હતી, આ દરમ્યાન નયન કેશવાલા ફરિયાદી વચ્ચે પડતાં પાંચેય આરોપીઓએ નયન કેશવાલાને ધક્કા મારીને દુર કરી નાખી પાંચેય આરોપીઓએ યુવાન તથા નયનને બેફામ ભુંડી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા એલસીબીએ આરોપીઓને ઝડપી લીધા હતા અને ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમ્યાન આરોપીઓએ જાહેરમાં માફી માંગી હતી અને પોલીસ અમારી માય બાપ છે હવે ભૂલ નહીં થાય તેવું રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપી મયુર હરદાસ ઓડેદરા સામે કુલ 15 ગુન્હા નોંધાયેલ છે.
ફરિયાદ:રાણા બોરડી ગામે ચૂંટણીની આચાર- સંહિતા ભંગ અંગેની ફરિયાદ નોંધાઈ
પોરબંદરના રાણાબોરડી ગામે ચૂંટણીની આચારસહિતા ભંગની ફરિયાદ થઈ છે.આ ગામમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ તલાટીમંત્રી કોઈપણ પ્રકારના સરકારી ઓર્ડર વગર ગ્રામપંચાયત પ્રવેશ કરતા સ્થાનિક યુવાને લેખિત ફરિયાદ કરી છે. પોરબંદર તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમમંત્રી આશિષભાઈ અમલાણી સામે ફોજદારી કેસ દાખલ કરીને સસ્પેન્ડ કરવા સહિત, ચૂંટણી આચારસંહિતા દરમિયાન ગેરકાયદેસર રીતે પોતાના ફરજ વિસ્તાર છોડી દેવા અને શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા તથા તપાસ કરવા ચૂંટણીપંચ ગાંધીનગર તેમજ ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતા (MCC) અને સરકારી કર્મચારી આચાર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. સંબંધિત તલાટી-કમ-મંત્રી તેમના ફરજ વિસ્તાર (ગ્રામ પંચાયત/તાલુકા) છોડીને લેખિત સત્તાવાર પરવાનગી લીધા વિના બીજા સ્થાને ગયા હતા.જેથી તેમની સામે કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરાઈ હતી. ઓડિયોકલીપ પણ વાઇરલ થઈ રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામે કોઈપણ લેખિત ઓર્ડર વગર ભૂતપૂર્વ તલાટીમંત્રી ગ્રામ પંચાયત પ્રવેશ કરવા બાબતે સ્થાનિક આગેવાન અને તલાટીમંત્રીના વાતચીત અંગેનો ઓડિયોકલીપ પણ વાઇરલ થઈ છે.જેમાં તલાટીમંત્રી દસ્તાવેલ શોધ માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.
પિંક સેલિબ્રેશન:દેશના 85 પક્ષી પ્રેમીઓએ પોરબંદરમાં ફ્લેમિંગોના પ્રણય નૃત્યની ઉજવણી કરી
પોરબંદરમાં ફ્લેમિંગોના પ્રણય નૃત્યની ઉજવણી માટે પોરબંદરમાં 2 દિવસીય પિંક સેલિબ્રેશન યોજાયું હતું.જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળના 85 જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા હતા. મોકર સાગર વેટલેન્ડ કંઝરવેશન કમિટી દ્વારા પોરબંદરમાં પિંક સેલિબ્રેશનનું આયોજન તા 18 એપ્રિલ અને 19 એપ્રિલે કરવામાં આવ્યું હતું. પિંક સેલિબ્રેશન વર્ષ 2015 થી પોરબંદરમાં યોજાય છે. પિંક સેલિબ્રેશન ખાસ ફ્લેમિંગો ના પ્રણય નૃત્ય ની ઉજવણી છે જે પોરબંદર માં જોવા મળે છે. તા 18 ના રોજ તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. ડોક્ટર અર્પિત દેવમુરારી દ્વારા પક્ષીઓ પક્ષી દર્શન અને પક્ષી પ્રેમીઓ ઉપર તેનો ઇતિહાસ વર્તમાન અને ભવિષ્ય વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ગુજરાતના શિકારી પક્ષીઓ ખાસ કરીને ફાલ્કન પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું તેમણે કચ્છના નાના રણમાં નાના હંજના માળાઓ વિશે પણ પોતાના અનુભવ જતા આવ્યા હતા. ગુજરાતના ફ્લેમિંગો તેની સંખ્યા માળાઓ અને વન વિભાગના પ્રયત્નો વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ડોક્ટર ધવલ વારગીયા પ્રમુખ મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા પોરબંદરના ફ્લેમિંગો તથા તેના પ્રણય નૃત્ય વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન ની સાથે સાથે દૂરબીન રાખવા માટે તમામને એક ઇકો ફ્રેન્ડલી બાયનોક્યુલર બેગ પણ આપવામાં આવ્યું હતું.
પોરબંદરના દરિયાકિનારે રેતશિલ્પ દ્વારા 5 કલાકની જહેમત બાદ મતદાન જાગૃતિ માટે હું આવશ્યક મતદાન કરીશની થીમ પર રેતશિલ્પ તૈયાર કરવામાં આવ્યું હતું.આ રેતીશિલ્પને શહેરીજનો અને વિદ્યાર્થીઓ દ્વારા નિહાળ્યું હતું. લોકશાહીના મહાપર્વને ઉજાગર કરવા માટે પોરબંદરના દરિયાકિનારે કરવામાં આવેલ રેતી શિલ્પ દ્વારા ‘મતદાર જાગૃતિ’નો અનોખો અને પ્રભાવશાળી સંદેશ આપવામાં આવ્યો છે. પોરબંદરની ચોપાટી ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન SVAP અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિના સેન્ડ આર્ટિસ્ટ નથુભાઈ ગલચરે રેતીમાં અદ્ભુત શિલ્પ કંડારીને લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ શિલ્પ દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા માટે ભાવભીની અપીલ કરવામાં આવી હતી, જે દરેક માટે પ્રેરણાદાયક બની છે. પોરબંદરની વસનજી ખેરાજ પ્રાથમિક શાળાના બાળકો, આચાર્ય, શિક્ષકોએ પોરબંદરના દરિયા કિનારે બનેલા રેત શિલ્પને નિહાળેલ અને મતદાર જાગૃતિ સંદેશો પાઠવેલ હતો.ભાજપના પ્રદેશ પ્રમુખે કીર્તિમંદિરની મુલાકાત લીધી. ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કિર્તિ મંદિર, પોરબંદરની મૂલાકાત લીધી હતી તેમની સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ પણ મૂલાકાત લઈને પૂજ્ય બાપૂને વંદન કર્યા હતા. મતદાન માત્ર અધિકાર નથી પરંતુ તે દેશ પ્રત્યેની ફરજ પણ છે. પોરબંદરવાસીઓને આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીમાં પરિવાર સાથે જોડાઈ ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને વહેલી સવારમાં મતદાન કરવુ જોઈએ. > વિનોદ પરમાર,SVAP નોડલ ઓફિસર
BCA ચૂંટણી:ઉમેદવારોની અપીલ સંદર્ભે આજે હાઈકોર્ટમાં ડબલ જજની બેંચ સમક્ષ સુનાવણી
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં કાનૂની જંગ ચાલી રહી છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવી દીધા હતા. ઉમેદવારોની અપીલ પર ડબલ જજની બેંચ સમક્ષ બુધવારે સુનાવણી થનાર છે. 15 એપ્રીલે સુનાવણી થયા બાદ કોર્ટે વધુ સુનાવણી 22 એપ્રિલ પર મુલતવી રાખી હતી. વડોદરાના અરજદારો પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિની રજૂઆતો બાદ અગાઉ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટના 2022ના નિર્દેશો મુજબ 9 વર્ષની મર્યાદા અને કુલિંગ પિરિયડના નિયમોનું પાલન ન થયું હોવાનું નોંધી હાઈકોર્ટે રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સુનાવણી સુધી બીસીએની વર્તમાન કમિટી માત્ર કાર્યકારી બોડી તરીકે જ કાર્યરત રહેશે અને તેઓ કોઈ પણ નીતિગત કે મહત્વના નિર્ણયો લઈ શકશે નહીં. તેમજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવા પર પણ હાલ રોક લગાવવામાં આવી છે. હાઈકોર્ટના નિર્ણય બાદ બીસીએની ચૂંટણીમાં મોટો વળાંક આવી શકે છે.
સિટી એન્કર:એક જ સર્જરીમાં લિવર-કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરી દર્દીને નવજીવન
શહેરની એક ખાનગી હોસ્પિટલમાં કેડેવેરિક (મૃતદાતા) ડોનરથી પ્રાપ્ત લિવર અને કિડનીનું એક દર્દીમાં એક જ સર્જરીમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ ટ્રાન્સપ્લાન્ટથી 10 વર્ષથી ક્રોનિક લિવર ડિસીસ અને 3 વર્ષથી કિડની ફેલ્યોરથી પીડાતા નવસારીના 50 વર્ષીય દર્દીને નવજીવન મળ્યું છે. મૈરિંગો સિમ્સ હોસ્પિટલના લિવર અને એચબીબી સર્જરી ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડો. ગૌરવ પટેલે કહ્યું કે, લિવર અને કિડની ફેલ્યોરથી પીડાતા દર્દીને 29 માર્ચે દાખલ કરાયો હતો. આવા કેસોમાં સામાન્ય રીતે એક-એક અંગ અલગ સમયગાળામાં ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. પરંતુ, દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે એક જ ઓપરેશનમાં બંને અંગ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી દર્દીને નવી જિંદગી આપી છે. ટ્રાન્સપ્લાન્ટની સફળતાના બે મુખ્ય આધાર કોલ્ડ ઈસ્કેમિયા ટાઈમ : અંગની જાળવણીનો સમયજ્યારે કોઈ અંગ દાતાના શરીરમાંથી બહાર કાઢવામાં આવે અને તેને દર્દીના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવે, તે વચ્ચેના સમયને ‘કોલ્ડ ઇસ્કેમિયા’ કહે છે. અંગ શરીરની બહાર જેટલો વધુ સમય રહે, તેટલું તેનું કાર્ય નબળું પડવાનું જોખમ વધે છે. તેથી આ સમય ઘટાડવો ખૂબ જરૂરી છે. કિડની પોર્ટ પંપ : અંગને જીવંત રાખતું મશીનઆ એક આધુનિક મશીન છે. લિવર ટ્રાન્સપ્લાન્ટની લાંબી પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે કિડનીને આ મશીન સાથે જોડી દેવાય છે. આ મશીન કિડનીમાં લોહીનો પ્રવાહ, ઓક્સિજન અને પોષક તત્વો સતત જાળવી રાખે છે, જેથી અંગને નુકસાન થતું નથી અને ટ્રાન્સપ્લાન્ટની સફળતા વધી જાય છે. ડાયાલિસીસની પીડામાંથી મુક્ત થતા રજા અપાઈ : સર્જરી બાદ દર્દીને ખાસ ટ્રાન્સપ્લાન્ટ ICUમાં રખાયા હતા. ઇન્ફેક્શન અને ક્રિએટિનાઇન લેવલમાં વધ-ઘટ જેવા શરૂઆતી પડકારો છતાં ડોક્ટરોની દેખરેખમાં દર્દી સ્વસ્થ થતાં 14 એપ્રિલે રજા અપાઈ હતી. લિવરની બીમારી અને ડાયાલિસિસની પીડામાંથી મુક્ત થઈને હવે દર્દી સામાન્ય જીવન જીવી શકશે. 16 કલાક સુધી સર્જરી ચાલી - એક જ બ્રેનડેડ દાતાના શરીરમાંથી લિવર અને કિડની મેળવીને તેને એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા અત્યંત પડકારજનક હતી. - આ ઓપરેશન સફળ બનાવવા ટ્રાન્સપ્લાન્ટ સર્જન, કિડની નિષ્ણાત ક્રિટિકલ કેરના 15 નિષ્ણાત ડોક્ટરોની ટીમે સતત 16 કલાક સુધી ઓપરેશન થિયેટરમાં જહેમત ઉઠાવી હતી. - રાજ્યમાં પહેલીવાર ‘કિડની પોર્ટ પંપ’નો ઉપયોગ કરી લિવરના ઓપરેશન ચાલતું હોય ત્યારે જ કિડનીને સતત કાર્યરત રાખી તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 48 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રાજકીય પક્ષોએ શિક્ષિતોથી લઈને યુવાનો સુધીના સમીકરણો બેસાડ્યા છે, પરંતુ આર્થિક અને સામાજિક રીતે ઉમેદવારોમાં જમીન -આસમાનનું અંતર જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 48 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગમાં સૌથી વધુ ધ્યાન ઉમેદવારોની લાયકાત અને તેમની મિલકતો પર કેન્દ્રિત થયું છે.સૌથી વધુ અને ઓછી ઉંમરનું ગણિતમાં આ ચૂંટણીમાં યુવા લોહી અને અનુભવનો સંગમ જોવા મળી રહ્યો છે. વિશ્લેષણ મુજબ, જિલ્લા પંચાયતની આ રેસમાં સૌથી યુવાન ઉમેદવાર માત્ર 22 વર્ષના છે, જે લોકશાહીમાં યુવાનોની વધતી ભાગીદારી દર્શાવે છે. તેની સામે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 63 વર્ષના છે, જેઓ દાયકાઓનો રાજકીય અનુભવ ધરાવે છે. શિક્ષણ અંગૂઠા છાપ’ થી લઈને ગ્રેજ્યુએટ સુધીના મેદાનમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ ઉમેદવારોમાં મોટું અંતર છે. સંપત્તિ અને દેવું 1 લાખ થી 9 લાખ સુધીની મિલકત આર્થિક વિશ્લેષણમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. સૌથી શ્રીમંત ઉમેદવાર પાસે 2,53,50,000 બે કરોડથી વધુની જંગમ અને સ્થાવર મિલકત છે. જ્યારે આશ્ચર્યજનક રીતે, એક ઉમેદવાર પાસે સોગંદનામા મુજબ માત્ર 0 જ છે. લોનની વાત કરીએ તો, એક ઉમેદવાર પર 9,50,000થી વધુનું દેવું છે. ક્રિમિનલ રેકોર્ડ પુરુષો સામે કેસ, મહિલાઓ બેદાગવઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠક પરના 48 દાવેદારોમાં ગુનાહીત ઇતિહાસ તપાસતા માત્ર એક જ ઉમેદવાર જે પુરૂષ ઉમેદવાર છે તેમના પર કેસ નોંધાયેલ છે.જ્યારે 20 માથી એક પણ મહિલા સામે કેસ નોધાયેલો નથી 27 પુરૂષ ઉમેદવાર સામે ગુનો નથી નોંધાયેલો 48 માંથી 15 ઉમેદવાર અભણ વઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠક પર 48 દાવેદાર છે જેમાં 15 અભણ છે 28 ઉમેદવાર માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ છે, 4 ઉમેદવારે ઉચ્ચ માધ્યમીક જેટલો અભ્યાસ કર્યો જ્યારે માત્ર 2 ઉમેદવાર ગ્રેજ્યુએટ થયેલા છે. બે બેઠકો પર ભાજપ બીન હરીફ 16માંથી 12 બેઠકપર ત્રિપાંખીયો અને 4 બેઠકપર ચોપાંખીયો જંગ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકાપંચાયતમાં મેમકા મકવાણા રેખાબેન કમલેશભાઇ ભાજપ અને રામપરા કાનજીભાઇ રણછોડભાઇ ચાવડા બીન હરીફ વિજેતા થયા છે. જેમાં 12 બેઠકપર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર છે.જ્યારે બાળા અપક્ષ રાજપર અપક્ષ વડોદ અપક્ષ વસ્તડી અપક્ષ ઉભા રહેતા ચાર બેઠકોપર ચોપાંખીયો ચૂંટણી જંગ જામશે
હજુ જમી સંપાદિતનો વિવાદ:કેનાલનો 300 મીટરનો ભાગ બાકી, 200 ખેડૂતને સીધી અસર
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખારવા રોડ પર આવેલી કેનાલનું કામ છેલ્લા 14 વર્ષથી અધૂરું રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. માત્ર 300 મીટરનો ભાગ બાકી હોવા છતાં કામ પૂર્ણ ન થતાં અંદાજે 5000 વીઘા જમીન સિંચાઈના પાણીથી વંચિત રહી છે. હજુ જમીન સંપાદિત કરવાનો વિવાદ ચાલુ છે. આ પરિસ્થિતિને કારણે લગભગ 200 જેટલા ખેડૂતોને સીધી અસર પહોંચી છે. પાણીના અભાવે ખેડૂતોને પાક ઉગાડવામાં ભારે તકલીફ પડી રહી છે, જેના કારણે ખેતી ખર્ચ વધ્યો છે અને આવકમાં ઘટાડો થયો છે. આ અંગે ખેડૂત આગેવાન વિક્રમસિંહ મહેન્દ્રસિંહ વગેરેએ જણાવ્યું કે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. જો આ કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે તેમ છે. ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે અને જલ્દી ઉકેલ ન આવે તો આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. વિવાદિત જમીનના નાણા મૂળ માલિકને ચૂકવાશેઆ 300 મીટરનો ભાગ બાકી છે. જેમાં જમીન સંપાદિત કરવામાં વિવાદ છે. આ વિવાદિત જમીનના નાણાં મૂળ માલિકને ચૂકવી કેનાલની ની કામગીરી ઝડપી ચાલુ કરી દેવામાં આવશે. - સી.બી. પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર, નર્મદા વિભાગ
ભાસ્કર એક્સક્લુસિવ:જિલ્લામાં 8 વર્ષમાં 619 લોકોને ઝામરની અસર, 20એ દૃષ્ટિ ગુમાવી
પ્રવિણ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને દ્રષ્ટિહિન કરતો છૂપો ચોર એવા ઝામર રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 8 વર્ષમાં નવા નોંધાયેલા 777 લોકો ભોગ બન્યા હતા. અને જેમાં 20 લોકોએ તો દ્રષ્ટિ પણ ગુમાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ત્યારે આ રોગ સામે લોકો સજાગ બની સમયાંતરે આંખોની ચકાસણી કરાવે તે હાલના સમયે જરૂરી બન્યું છે. 8 વર્ષ પહેલા જાગૃતિનો અભાવ, મોડો નિદાન, વારસાગત કારણો, અને લોકોમાં સાયલન્ટ કિલર તરીકે જાણીતા આ રોગને કારણે અંધાપાનું પ્રમાણ વધુ જોવા મળતું હતું. હોસ્પિટલમાં ઝામરના 2024-25માં 73 નોંધાયા હતા. જેની સામે 2025-26માં ગાંધી હોસ્પિટલ, લીંબડી, સીએચસી ચુડા,ચોટીલા એનજીઓ સાયલા તેમજ જિલ્લાની બિનસરકારી સરકારી હોસ્પિટલો સહિતમાં અંદાજે 193 લોકો ઝામર રોગના શિકાર થયા છે. ઝાલાવાડમાં આ રોગ ધીમે-ધીમે ચિંતાજનક રીતે માથું ઉંચકી રહ્યો છે. જેના કારણે 2018થી અત્યાર સુધી એટલે કે છેલ્લા 8 વર્ષમાં નવા નોંધાયેલા 777 લોકો ભોગ બન્યા હતા. પરિણામે આ સમયગાળા દરમિયાન અંદાજે 20 લોકોએ દૃષ્ટિ ગુમાવી હોવાનું બહાર આવ્યુ છે. જિલ્લામાં રહેતા અગરિયાઓ, પઢાર સહિત મજૂરીનું કામ કરતા લોકોમાં આંખની ખામી સર્જાતી વધુ જોવા મળે છે. આમ સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર સહિતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દૃષ્ટિ ઝાંખપના અનેક કેસો જોવા મળી રહ્યા છે. નોંધાયેલા દર્દીઓમાંથી લોકોના લેશર ઓપરેશનો કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે મોકલાયા હતા. નિયમિત ટીપાં નાંખવાથી ઝામર કાબૂમાં રહેઝામરના બે પ્રકાર હોય છે. એક ઠંડો ઝામર અને બીજો કાળો ઝામર. કાળા ઝામરના પણ બે પ્રકાર છે. આ ઝામર રોગની છેલ્લી ઘડી સુધી જાણ થતી નથી. મોટાભાગના દર્દીઓને ઝામર રોગ ક્યારે આવે તેની ખબર પડતી નથી. ઘણુ કરીને ખાસ ટીપા નાંખવાથી ઝામર કાબુમાં રહે છે. અનિવાર્ય સંજોગોમાં જ ઓપરેશન કરવુ પડે છે. પ્રકાશની આસપાસ રંગીન કુંડાળા કે ખાડા દેખાવા, આંખો અને માથામાં દુઃખાવો, આજુબાજુની નજર કમજોર થવી અને દ્રષ્ટિ ઘટવી,ચુશ્માના નંબરમાં વારંવાર ફેરફાર થવો તે ઝામરના લક્ષણો છે. { ડો. કેતન કે લીંબાચીયા, ગાંધી હોસ્પિટલ,નેત્રસર્જન આંખો લાલ થવી, ધૂંધળું દેખાવું, આંખો લાલ થવી સહિતના લક્ષણો40 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિન. દુ:ખાવો થાય ન પણ થાય.પેરીફેરલ દ્રષ્ટિમાં ઘટાડો થાય અને જાણે પાઇપમાંથી જોતા હોય તેવુ લાગે તો ઝામર(ગ્લુકોમા) હોઇ શકે. એક કે બંને આંખોમાં નજીક અથવા દૂરની વસ્તુ ઝાંખી દેખાવી. આંખો લાલ થવી. ધૂંધળુ દેખાવુ, સતત માથા કે આંખનો દુ:ખાવો, દુ:ખાવા દરમિયાન ઉલટી થવી.વારંવાર ચશ્માનો નંબર બદલાવો. ડાયાબિટિસ, બ્લેડ પ્રેશરના દર્દીમાં આ રોગનું જોખમ, સતત સ્ક્રીનના ઉપયોગથી આંખ પર દબાણ વધે છેબદલાતી જીવનશૈલીને કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું પ્રમાણ વધ્યું છે. આ બંને બીમારીઓ ઝામર થવા માટેના મુખ્ય જોખમી પરિબળો છે. સતત સ્ક્રીન (મોબાઈલ/લેપટોપ)ના ઉપયોગથી આંખ પર દબાણ વધે છે, જે ઝામરના લક્ષણોને વહેલા ઉત્તેજિત કરી શકે છે. કોઈપણ નાની તકલીફમાં આંખના ટીપાં ડોક્ટરની સલાહ વગર નાખવાની આદતને કારણે પણ ઝામર થવાનું જોખમ વધ્યું છે. આધુનિક મશીનો પેરીમેટ્રી ઉપલબ્ધ છે, જેનાથી ઝામરની શરૂઆત હોય ત્યારે જ ખબર પડી જાય છે.
3 વૃક્ષમિત્રનો શ્રમયજ્ઞ:રોજ 3 કલાકના પરિશ્રમથી 200થી વધુવૃક્ષો ઉછેરી બનાવ્યો ઓક્સિજન પાર્ક
મન હોય તો માળવે જવાય આ કહેવતને ધ્રાંગધ્રાના 3 સિનિયર સિટીઝનોએ અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. શહેરના તળાવની પાળ પર જ્યાં કચરાના ઢગલા અને ઉકરડા હતા, ત્યાં આજે પક્ષીઓનો કલરવ અને હરિયાળી જોવા મળે છે. 3 વર્ષના સતત શ્રમ અને મક્કમ નિર્ધારથી આ વડીલોએ વેરાન જગ્યાને લોકો માટે હરવા-ફરવા લાયક સુંદર વન બનાવી દીધું છે. ધ્રાંગધ્રા તળાવની પાળ પરથી રોજ સવારે વોકિંગ માટે પસાર થતા 3 મિત્ર - અજીતસિંહ ઝાલા, નટુભાઈ દલવાડી અને ડુંગરભાઈના મનમાં અહીં ફેલાયેલી ગંદકી જોઈને દુઃખ થતું હતું. તેમણે આ જગ્યાનો કાયાકલ્પ કરવાનું મન બનાવ્યું અને પોતાના ખર્ચે કોદાળી, પાવડા અને ડોલ જેવા સાધનો વસાવ્યા. કોઈપણ સરકારી મદદ વગર, તેમણે રોજ સવારે 3 કલાક સખત પરિશ્રમ કરી કચરાના ઢગલા દૂર કર્યા અને સાફ-સફાઈ હાથ ધરી. છેલ્લા 3 વર્ષના અવિરત શ્રમ બાદ આજે આ જગ્યા પર 200થી વધુ ઘટાદાર વૃક્ષો લહેરાઈ રહ્યા છે. જે જગ્યા પર કોઈ જવાનું પસંદ નહોતું કરતું, તે આજે ધ્રાંગધ્રા માટે એક ઓક્સિજન પાર્ક અને પિકનિક પોઈન્ટ બની ગઈ છે. ધ્રાંગધ્રાના આ ત્રણ રત્નોએ સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક આંકડો છે, જો સંકલ્પ શક્તિ મજબૂત હોય તો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. આ વન માત્ર વૃક્ષોનો સમૂહ નથી, પરંતુ સેવા અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે. આવનાર સમયમાં પર્યાવરણ ગંભીર સમસ્યા બનશે, દરેકે વૃક્ષારોપણ કરવું જોઈએઆ અંગે અજીતસિંહ ઝાલા અને સાથીદારોએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં પર્યાવરણ એક ગંભીર સમસ્યા બનવાની છે, ત્યારે દરેક નાગરિકે વૃક્ષારોપણ કરવું જોઈએ. અમે લોકોની સુખાકારી અને છાંયો મળે તે હેતુથી આ કામગીરી કરી છે અને આગળ પણ આ શ્રમયજ્ઞ ચાલુ રાખીશું.
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. EVM મશીનો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોના ચિન્હો લગાવવાની કામગીરી સોમવારે જગાણા ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોની હાજરીમાં પૂર્ણ કરી હતી. શહેરના કુલ 11 વોર્ડમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે. કેટલાક વોર્ડમાં બેઠકો બિનહરીફ જાહેર થતાં મતદાન પ્રક્રિયામાં મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભાસ્કર દ્વારા ખાસ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. એક્સપર્ટની મદદથી તૈયાર કરાયેલી આ સરળ પ્રશ્નોત્તરી મતદારોને મતદાન પ્રક્રિયા સમજવામાં સહાયરૂપ બનશે. મતદાન મથક પર કેટલા વોટ આપવાના છે તે અંગે નોટિસ બોર્ડ અને અધિકારીઓ જણાવી દેશે પ્રશ્ન: મારા વોર્ડમાં 4માંથી 3 સભ્યો બિનહરીફ થયા છે, તો શું મતદાન કરવું ? જવાબ: હા. જો એકપણ બેઠક પર ચૂંટણી હોય તો મતદાન કરવું જોઈએ. પ્રશ્ન: EVM પર બિનહરીફ ઉમેદવારોના નામ દેખાશે ? જવાબ: ના. બિનહરીફ ઉમેદવારોના નામ કે નિશાન મશીનમાં નહીં હોય. પ્રશ્ન: કેટલા વોટ આપવાના તે કેવી રીતે ખબર પડે ? જવાબ: મતદાન મથક પર નોટિસ બોર્ડ અને અધિકારીઓ જણાવી દેશે કે કેટલા વોટ આપવાના છે. પ્રશ્ન: ભૂલથી વધુ ઉમેદવારોને વોટ આપવાનો પ્રયાસ કરું તો ? જવાબ: મશીન વધારે વોટ લેતું જ નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પ્રશ્ન: એક જ ઉમેદવારને બે વાર વોટ આપી શકું ? જવાબ: ના. એક ઉમેદવારને માત્ર એક જ વાર વોટ આપી શકાય. પ્રશ્ન: વોટ આપ્યા પછી શું કરવું ? જવાબ: પસંદના ઉમેદવારનું બટન દબાવી પછી ‘Register’ બટન દબાવવું જરૂરી છે. પ્રશ્ન: ‘બીપ’ અવાજ ક્યારે આવશે ? જવાબ: ‘Register’ બટન દબાવ્યા પછી લાંબો બીપ આવે છે, એ જ વોટની ખાતરી છે. પ્રશ્ન: ‘Register’ દબાવ્યા વગર બહાર નીકળી જાઉં તો ? જવાબ: તમારો વોટ ગણાશે નહીં. અધિકારી તમને ફરીથી પ્રક્રિયા પૂર્ણ કરાવશે. પ્રશ્ન: બિનહરીફ સભ્યોના વોટ ગણાશે? જવાબ: ના. તેઓ પહેલાથી જ વિજેતા જાહેર થઈ ગયા છે. પ્રશ્ન: કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો શું કરવું ? જવાબ: તમે NOTA બટન દબાવી શકો છો. પ્રશ્ન: લાલ લાઈટ ક્યારે થાય છે ? જવાબ: જ્યારે તમે કોઈ ઉમેદવારનું બટન દબાવો ત્યારે તેની સામે લાલ લાઈટ થાય છે. પ્રશ્ન: શાહી લગાવવી ફરજિયાત છે ? જવાબ: હા. એક જ વોટ આપો તો પણ આંગળી પર શાહી લગાવવામાં આવશે. પ્રશ્ન: બધા 4 સભ્યો બિનહરીફ હોય તો શું ? જવાબ: તો તમારા વોર્ડમાં મતદાન નહીં થાય, જવાની જરૂર નથી. પ્રશ્ન: મતદાન માટે કયા દસ્તાવેજ જોઈએ ? જવાબ: વોટર આઈડી અથવા [આધાર કાર્ડ રેડાક્ટેડ], પાન કાર્ડ જેવા માન્ય પુરાવા. પ્રશ્ન: મશીન બગડે તો મારો વોટ રદ થશે ? જવાબ: ના. ડેટા સુરક્ષિત રહે છે અને નવું મશીન મૂકીને ફરી મતદાન કરાવાશે. નોંધ: આ સામાન્ય માર્ગદર્શન છે. અંતિમ નિયમો માટે રાજ્ય ચૂંટણી પંચ, સ્થાનિક અધિકારીની સૂચનાઓ જ માન્ય રહેશે.
તપાસ:હૈદરાબાદમાં જે નવજાત બાળકી રૂપિયા 1.80 લાખમાં વેચાઈ તે હજુ પોલીસને મળી જ નહીં
સમગ્ર જિલ્લામાં હાહાકાર સર્જનાર નવજાત બાળકીને વેચવાના મામલામાં પોલીસ હજુ સુધી બાળકીને પરત મેળવી શકી નથી અને જેને હૈદરાબાદમાં સોંપી હતી તે દંપતી પણ હજી સુધી પોલીસના હાથ લાગ્યું નથી. પોલીસ ટીમો હાલમાં તેલંગણા સહિત અન્ય રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને ગેંગ સાથે જોડાયેલા દરેક લિંક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત કેટલાક આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, છતાં બાળકી અને અંતિમ ખરીદદારો સુધી પહોંચવું સૌથી મોટો પડકાર બન્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં અનેક રાજ્યો વચ્ચે સંકલન સાથે તપાસ ચાલી રહી છે અને વધુ મહત્વપૂર્ણ વિગતો આગામી દિવસોમાં જાહેર કરાશે. બીજી તરફ આ કેસમાં ખુલાસો થયો છે કે બાળકીનો જન્મ થયા બાદ તરત જ સોદો ગોઠવ્યો હતો અને એજ દિવસે તેને લઈ જવાઈ હતી. એટલે કે દીકરી નવજાત જન્મના થોડા જ દિવસની અંદાજે 1થી 2 દિવસની હતી. શૈલેષ ગમાર અને પાબુ ભગોરાની ધરપકડ બાદ પૂછપરછમાં કિશોરનું નામ સામે આવ્યું હતું. તપાસ દરમિયાન પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. દાંતા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કિશોર નવજાત બાળકીના સોદામાં મહત્વનો કડી હતો, જે હૈદરાબાદમાં વેચાણ બાદ મળેલી રકમમાંથી બાકી રહેલા પૈસા શૈલેષને અને પાબુ મારફતે બાળકીના પિતા સુધી પહોંચાડવાનો હતો. પોલીસે શૈલેષ અને પાબુના મોબાઇલમાંથી મળેલા ફોટા, વોટ્સએપ ચેટ અને ટેકનિકલ પુરાવાના આધારે તેની સંડોવણી સુધી પહોંચી શકી, જેનાથી સમગ્ર નેટવર્કનો ખુલાસો થયો હતો. બાળકના પિતાને લલચાવી સોદો કરાયો શૈલેષે દાંતાના કાસા ગામના આદિવાસી યુવકને તેની પત્ની ડિલિવરી પછી બાળક વેચવા માટે સમજાવ્યો હતો. બાળકીના જન્મ બાદ પિતાએ આર્થિક લાલચમાં આવી નવજાતને વેચાણ માટે તૈયાર થઈ ગયો હતો. નવજાત બાળકીના ફોટા વ્હોટ્સએપથી મોકલ્યા શૈલેષે નવજાત બાળકીના ફોટા વોટ્સએપથી હૈદરાબાદના મુરગન અને શિવારાનીને મોકલાયા હતા. ત્યારબાદ રૂ.1.80 લાખમાં સોદો નક્કી થયો. આ સોદામાં અનેક એજન્ટો વચ્ચે કમિશન વહેંચાયું હતું.સોદાની રકમમાંથી દીકરીના પિતાને રૂ.70,000 આપ્યા. શૈલેષે રૂ.20,000 કમિશન રાખ્યુ અને પાબુએ પણ પોતાનો ભાગ લીધો. બાકી રકમ અલગ તબક્કામાં ચૂકવાઈ હતી.
ચકચાર:98 વર્ષના સંતને લઈ જતી કારને વાડામાં લઈ જઈ 2 કલાક ગોંધી રાખી લૂંટ ચલાવી
પાલનપુરમાં હનુમાન ટેકરી નજીક 98 વર્ષના બીમાર સંતને અમદાવાદ સારવાર માટે લઈ જતી કારને એક્ટિવા સવાર બે શખ્સોએ રોકી હતી. ગાડીના હપ્તાના નામે ડ્રાઈવર, સેવક અને સંતને વાડામાં લઈ જઈ બે કલાક સુધી ગોંધી રાખ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.32 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવી હતી. રાજસ્થાનના સિરોહીના જ્યોતિષાચાર્ય અંકિત રાવલ તેમના ગુરુજી સંત ભગવાનગીરી મહારાજને કારમાં અમદાવાદ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તેમને છેલ્લા 5 વર્ષથી અસ્થમાની બીમારી હતી.ત્યારે મંગળવાર સવારે 11 વાગ્યાના સુમારે પાલનપુર હનુમાન ટેકરી નજીક એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કારને ઊભી રખાવી હતી. આરોપીઓએ ગાડીના હપ્તા બાકી હોવાનું કહી ડ્રાઈવર જીતેન્દ્રકુમારને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ કારને બળજબરીપૂર્વક રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ પાછળ આવેલા વાડામાં લઈ જઈ ફરિયાદી, ડ્રાઈવર અને સાક્ષીઓને બે કલાક સુધી ગોંધી રાખ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના મોબાઈલમાંથી ગુગલ પે મારફતે રૂ.32,120 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. દરમિયાન અંકિતભાઈએ તેના સગાને ફોન કર્યો હતો. સગાએ પોલીસને જાણ કરી પોલીસે લાઈવ લોકેશન માગતા અંકિતભાઈએ લોકેશન મોકલ્યું હતું. ત્યારબાદ 10થી 15 મિનિટમાં પોલીસ પહોંચતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઓળખ કરી લીધી છે-PI પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, કંપનીના માણસોએ હપ્તાના પૈસા સ્થળ પર જ લઈ લેવા જોઈએ, પરંતુ તેમને ગાડી અન્ય જગ્યાએ લઈ જઈને હપ્તા વસુલી કરી છે. જેથી બે લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમને પકડવા માટે બે ટીમો બનાવી છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે. બંને આરોપીઓને ઝડપી લેવાશે.
આચાર સંહિતાનો ભંગ:બસપોર્ટની ટીવી સ્ક્રીન પર સરકારી જાહેરાતો
લોકશાહીના પર્વ સમાન ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જાય છે, જેમાં સરકારી મિલકતો અને જાહેર સ્થળો પર રાજકીય નેતાઓના ફોટા કે પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરવા મનાઈ હોય છે. છતાં પાલનપુરના નવા અદ્યતન બસપોર્ટમાં હજુ પણ 3 ટીવી સ્ક્રીન પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા સાથેની જાહેરાતો યથાવત જોવા મળી રહી છે. એસ.ટી. બસપોર્ટ જાહેર પરિવહન સેવા હોવાથી અહીં આવી વિડીઓ ક્લિપ્સ ચલાવવી સીધો આચાર સંહિતાનો ભંગ ગણાય છે. નિયમ મુજબ આચાર સંહિતા લાગુ થતા જ આવી સામગ્રી દૂર કરવાની જવાબદારી તંત્ર અને સંબંધિત વિભાગની હોય છે, પરંતુ અહીં બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવાઈ રહી છે.પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટીવીમાં આવતી જાહેરાત બાબતે ભાસ્કરે ધ્યાન દોરતા અમે તાત્કાલિક ધોરણે સ્ક્રીન બંધ કરાવી દીધા છે. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ જ આચાર સંહિતા પૂર્ણ થયા બાદ જ ટીવી ચાલુ કરાશે.
22 બેઠકો પર ત્રિપાંખિયો જંગ:બ.કાં. જિ.પં.ની 48 બેઠકોમાં 16માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 બેઠકો માટે કુલ 132 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અપક્ષ ઉમેદવારોએ અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.આ વખતે 16 બેઠકો એવી છે જ્યાં માત્ર બે જ મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે અન્ય બેઠકો પર અપક્ષ અને આપ ના ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો કે બહુપાંખિયો જંગ ખેલાશે. જેમાં અંબાજી, દાંતા, કાલેડા અને ખડોલ જેવી મહત્વની બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉતારીને જંગને રસાકસીભર્યો બનાવ્યો છે. 16 બેઠકો પર ભાજપ- કોંગ્રેસ વચ્ચે જંગ અમીરગઢ, આસેડા, ભાખર મોટી, ચડોતર, ચંડીસર, છાપી, દલપુરા, દાંતીવાડા, ગઢ, જડિયા, ઝેરડા, કપાસીયા, ખંઢોર ઉમરી, મલાણા, માલગઢ, અને વરણ. 22 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ અંબાજી, ભાભર, દાંતા, ધાણા, ઈકબાલગઢ, જગાણા, જલોત્રા, જુનાડીસા, કાલેડા, કાણોદર, ખીમત, મડાણા ગઢ, મુડેઠા, નવાવાસ, નેસડા, પાંથાવાડા, રંગપુર, સમોમોટા, શિહોરી, તાણા, તેરવાડા અને વિરમપુર. 10 બેઠકો પર 4થી વધુ ઉમેદવારો 4 ઉમેદવાર: બસુ, કુચાવાડા, માલણ, થાવર, વડા અને વાલેર. 5 ઉમેદવાર: મેમદપુર અને વડગામ. 6 ઉમેદવાર: ખીમત
રાજ્યમાં વધી રહેલા ક્યુઆર કોડ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હવે ટેક્સ ચોરી પકડવાનું શક્તિશાળી હથિયાર બન્યા છે. તાજેતરમાં રેસ્ટોરાંની 52 કરોડની કરચોરી પકડાયા વિભાગે તપાસ તેજ કરી છે. ઘણા વેપારીઓ ગ્રાહકો પાસેથી બિઝનેસ એકાઉન્ટને બદલે વ્યક્તિગત યુપીઆઈ પર પેમેન્ટ લઈ વેચાણ છુપાવે છે અને તેને રિટર્નમાં દર્શાવતા નથી. વિભાગ હવે બેંકો અને પેમેન્ટ ગેટવે પાસેથી ડેટા મેળવીને તેને વેપારીઓના જીએસટી રિટર્ન સાથે સરખાવી રહ્યો છે. જ્યાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને જાહેર કરાયેલા વેચાણમાં મોટો તફાવત જણાશે તો નોટિસ ફટકારાશે. પાકાં બિલ ન આપી ટેક્સ ચોરી કરાય છે ડેટાને AI દ્વારા GST રિટર્ન સાથે મેચ કરાશે

30 C