વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના તરસાલીથી કપુરાઈ તરફ જતા નેશનલ હાઈવે(NH) પર રવિવારે(11 જાન્યુઆરી) સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્વિસ રોડ પર સર્જાયો છે જેમાં અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. બાઈક પર સવાર બે લોકો આ માર્ગ પર ફંગોળાયા હતાં. જેમાં એકનું ગંભીર ઇજાઓને લઈ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સર્વિસ રોડ પર બાઈક પર નીકળ્યાને અકસ્માતમળતી માહિતી મુજબ, રવિવારે(11 જાન્યુઆરી) મોડી સાંજે તરસાલી નેશનલ હાઇવે 48 પાસે સર્વિસ રોડ પર બે યુવકો પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ નેશનલ હાઇવે પરથી સર્વિસ રોડ પર આવી રહ્યા હતા તે દરમ્યાન બાઈક સ્લીપ થવાથી કે અન્ય કોઈ વાહનની ટક્કરથી બાઈક સ્લીપ થઈ જતા બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતને પગલે સર્વિસ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ અકસ્માતમાં ઘનશ્યામનગર મકરપુરામાં રહેતા શ્યામ કુશેશ્વર યાદવ (ઉં.વ. 55)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત રાજેશભાઈ વખતસિંહ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકનું મોત, એક ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયોઆ ગમખ્વાર અકસ્માતમાં શ્યામ યાદવનું ગંભીર ઇજાઓને લઈ સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રાજેશ ઠાકોરને તાત્કાલિક 108 મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી સમગ્ર ઘટના અંગેની તપાસ શરૂ કરી છે.
સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટેના કડક કાયદા 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચને પકડી પાડવામાં જૂનાગઢ એસ.ઓ.જી ને મોટી સફળતા મળી છે. આરોપીના જામીન રદ થતા કોર્ટે તેની સામે વોરંટ ઈસ્યુ કર્યું હતું. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ અભિયાન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સતત વોચ રાખી રહી હતી. ખાસ કરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા શખ્સો પોલીસ પકડથી દૂર ન રહે તે માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા SOG ના હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, રોહીતભાઇ ધાધલ અને વિશાલભાઇ ઓડેદરાને બાતમી મળી હતી કે વિસાવદરના હનુમાનપરા વિસ્તારમાં રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચ વિસાવદર ખાતે હાજર છે. આ શખ્સ વિરુદ્ધ વિસાવદર પોલીસ મથકે ગુજસીટોક એક્ટની કલમ-3(1)(2), 3(2), 3(4) હેઠળ ગુનો નોંધાયેલો હતો (GCTOC/4/2022). મુખ્ય જિલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા અને તેની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ છેલ્લા આઠ મહિનાથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. જોકે, SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિસાવદર ખાતેથી તેને હસ્તગત કર્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે વિસાવદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ કામગીરીમાં SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. કરશનભાઇ મોઢા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, કોન્સ્ટેબલ રોહીતભાઈ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ દિવરાણીયા જોડાયેલા હતા.
સુરતની ખાણીપીણીની દુનિયામાં અત્યારે ફફડાટ ફેલાયો છે. જે પાણીપુરીના ચટાકા લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે, એ જ લારીઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. કડવી વાસ્તવિકતા એ છે કે, જે પુરીઓ ગ્રાહકોના મોઢામાં જવાની હતી, તેને અધિકારીઓએ કચરા ગાડીમાં અને ગટરમાં ફેંકીને નાશ કરવો પડ્યો હતો. આ દૃશ્યો જોઈને કોઈ પણ ખાણીપીણીના શોખીનનું મન ખાટું થઈ જાય તેમ છે. 1200 લારીઓ પર મનપાની કાર્યવાહીછેલ્લા 5 દિવસથી સુરતના રસ્તાઓ પર કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. મનપાની આરોગ્ય ટીમોએ વહેલી સવારથી જ 'પાણીપુરી સ્પેશિયલ ડ્રાઈવ' શરૂ કરી છે. અલથાણ, ભટાર, પાંડેસરા અને અડાજણ જેવા ધમધમતા વિસ્તારોમાં એકસાથે દરોડા પાડીને કુલ 1220 જેટલી સંસ્થાઓ અને લારીઓનું રાતોરાત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ જાણે ખાણીપીણીના માફિયાઓ સામે પાલિકાની સર્જિકલ સ્ટ્રાઈક હોય તેવું જણાઈ રહ્યું છે. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ માત્ર ઉપરછલ્લી તપાસ નથી કરી, પરંતુ જ્યાં પાણીપુરીનું ઉત્પાદન થાય છે તેવા ગોદામો પણ ફંફોળ્યાં હતા. આ સુરતીઓના સ્વાસ્થ્ય માટે ટાઈમ બોમ્બ સમાનઃ ફૂડ સેફ્ટી ઓફિસરઆરોગ્ય અધિકારી ડો. કેતન ગરાસિયાએ જણાવ્યું કે, 5 દિવસની કાર્યવાહીમાં પાલિકાએ સાબિત કરી દીધું કે લોકોના જીવ સાથે ચેડાં કરનારને છોડવામાં આવશે નહીં. અમે માત્ર લારીઓ પર જ નહીં, પણ જ્યાં પાણીપુરીનું બલ્ક પ્રોડક્શન થાય છે તેવા કેન્દ્રો પર ત્રાટક્યા છીએ. તપાસ દરમિયાન જે રીતે સડેલા બટાકા અને અત્યંત ગંદા વાતાવરણમાં મસાલો બનતો જોવા મળ્યો, તે ખરેખર ચિંતાજનક છે. અમે 1400 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે અને 2.60 લાખનો દંડ ફટકાર્યો છે. જે સંસ્થાઓ નોટિસ પછી પણ સુધરી નથી, તેવી 10 દુકાનોને અમે સીલ કરી દીધી છે. લોકોના જીવ જોખમમાં મૂકનાર કોઈ પણ વેપારીને છોડવામાં આવશે નહીં. 2.60 લાખનો દંડ અને 10 દુકાનોને કાયમી તાળાઆ કોઈ સામાન્ય ડ્રાઈવ નહોતી, કારણ કે આંકડા ચોંકાવનારા છે. તપાસ દરમિયાન આશરે 1400 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો પકડાયો હતો, જેને તંત્રએ 'ઝેર' ગણીને નષ્ટ કર્યો છે. માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે, આરોગ્ય વિભાગે 73 જેટલી સંસ્થાઓને કડક નોટિસ ફટકારી છે અને જેઓ સુધરવા તૈયાર નહોતા તેવી 10 જાણીતી ખાણીપીણીની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશેઆ કાર્યવાહીમાં તંત્રએ વેપારીઓના ગજવા પણ ગરમ કર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,60,000 રૂપિયાથી વધુનો રોકડ દંડ વસૂલવામાં આવ્યો છે. જે રીતે સુરતમાં રોગચાળો ફેલાવાની ભીતિ રહે છે, તેને જોતા આ કડક હાથે લેવાયેલા પગલાં ખૂબ જ જરૂરી બન્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી બાદ પણ પાણીપુરીના વેપારીઓ સ્વચ્છતા જાળવે છે કે કેમ.
અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ આજે એક અનોખા સંગમનો સાક્ષી બન્યો છે. આસમાનમાં રંગબેરંગી પતંગોની જમાવટ છે અને જમીન પર ભારતની સંસ્કૃતિનો શણગાર. 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026' માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનું ભવ્ય સ્વાગત કરાયું. આ વખતે લોકોની નજર માત્ર પતંગો પર જ નહીં, પણ PM મોદીના લુક પર અટકી. આંખો પર બ્લેક ગોગલ્સ, ટ્રેડિશનલ કોટી અને ગળામાં ગુજરાતની વિરાસત સમાન 'પટોળા'નો શાહી સ્ટોલ પહેરીને PM મોદીએ એન્ટ્રી લીધી, આ અલગ અંદાજ સૌ કોઈના મનમોહ્યા હતા. ઉત્સવમાં 'સોનામાં સુગંધ ભળે' તેવા દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે PM મોદીએ પોતે પતંગની દોર હાથમાં લીધી. 'I Love Modi' અને 'India' લખેલી પતંગો સાથે તેમણે પતંગબાજોના મન મોહી લીધા. ખાસ કરીને, જ્યારે તેમણે તિરંગાના રંગની પતંગ ચગાવી અને ઢીલ છોડી. આ પહેલાં બંને નેતાઓએ કાઈટ ફેસ્ટિવલનું એક્ઝિબિશન નિહાળ્યું હતું. આ દરમિયાન PM મોદી અને ફ્રેડરિક મર્ઝ કોઈ સામાન્ય વ્યક્તિની જેમ એક ઓટલા પર બેસીને વાતચીત કરતા નજરે પડ્યા. ઉપરના વીડિયોમાં જુઓ આ હટકે અંદાજ...
પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી બે મહાકાય અજગર મળી આવ્યા હતા. કરસણ ગામના સર્પ નિષ્ણાત મિતેશભાઈ રાઠવાએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કર્યા હતા, જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભીંડોલ ગામના કાબલાભાઈ અમરસિંગભાઈ રાઠવાના ખેતરમાં સૂકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બે અલગ-અલગ વૃક્ષોના પોલાણવાળા થડમાંથી અચાનક અજગરો દેખાઈ આવતા કામ કરી રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ અજગરો પૈકી એક આશરે 10 ફૂટ લાંબો અને બીજો 6 ફૂટ લાંબો હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં જ કરસણ ગામના સાપ પકડવાના નિષ્ણાત મિતેશભાઈ દેવેન્દ્રભાઈ રાઠવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મિતેશભાઈએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા અને બાદમાં તેમને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા. મિતેશભાઈ રાઠવા આ ક્ષેત્રમાં લાંબા સમયથી માનદ સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, માનવ અને વન્યજીવ બંનેના જીવ બચાવવા તે તેમનો મુખ્ય હેતુ છે. તેમણે અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ સાપ અને અજગરોને પકડીને જંગલમાં છોડી ચૂક્યા છે. તેમની આ નિઃસ્વાર્થ કામગીરીની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
આઇસીડીએસ પાલનપુર ઘટક-1 દ્વારા જામપુર પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓને પૂર્ણા યોજના, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃત કરવાનો હતો. ઉત્સવ દરમિયાન કિશોરીઓને પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયર્નની ગોળીનું મહત્વ, પૂર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને તેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અંગત સ્વચ્છતા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા (મેન્સ્ટ્રુઅલ હાઇજીન) વિષયક જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. કિશોરીઓએ પૂર્ણા યોજના અંતર્ગત પતંગનું સુશોભન કર્યું હતું. તેમની BMI, વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિન (HB) સ્તરની પણ તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ઉત્તમ હિમોગ્લોબિન સ્તર ધરાવતી અને સુંદર પતંગ સુશોભન કરનાર કિશોરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીડીપીઓ ડિમ્પલ પંચાલ, આઇસીડીએસના સુપરવાઇઝરઓ, પીએસઇ સ્ટાફ, એફએચડબલ્યુ, આરોગ્ય વિભાગના સુપરવાઇઝર, આઇસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકરઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડમાં ચાઈનીઝ દોરી વેચાણ રોકવા ગયેલી પોલીસ પર હુમલો:બે મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાયો
વલસાડ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો થયો છે. આ ઘટના મોગરાવાડી હનુમાન ફળીયા વિસ્તારમાં તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 10:15 વાગ્યે નાગેશ્વર મંદિર શારદાધામ પાસે બની હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તા. 12મી જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023 અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસના સર્વેલન્સ સ્કોડના હેડ કોસ્ટબલ સહદેવસિંહ પ્રવિણસિંહને બાતમી મળી હતી કે યશ દીપકભાઈ નિકમ ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. તપાસ દરમિયાન યશના એક્ટિવા વાહનમાંથી ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. પૂછપરછ ચાલી રહી હતી ત્યારે યશ નિકમના માતા-પિતા દીપકભાઈ નિકમ અને ડિમ્પલબેન નિકમ સહિત અન્ય લોકોએ ઉશ્કેરાઈને પોલીસકર્મી સહદેવસિંહ પર લાકડાના ધોકા અને ઢીકા-મુક્કા વડે હુમલો કર્યો હતો. તેમણે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હુમલામાં સહદેવસિંહને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થઈ હતી. તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવતા અંદાજે ૪૦,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં 112 હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે યશ નિકમ, દીપકભાઈ નિકમ, ડિમ્પલબેન નિકમ, સંદીપ અને રીનાબેન સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ રેલવે સ્ટેશન નજીક 108 એમ્બ્યુલન્સમાં એક મહિલાની સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. નિઝામુદ્દીનથી બોરીવલ્લી જઈ રહેલી 39 વર્ષીય મહિલાને 11 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 7:15 વાગ્યે પ્રસુતિ પીડા શરૂ થઈ હતી. પરિવારે તાત્કાલિક 108 ટીમની મદદ માંગી હતી. વલસાડ રેલવે સ્ટેશન પર 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. 108ની ટીમે પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી ઝોલી સ્ટ્રેચરની મદદથી સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. એમ્બ્યુલન્સમાં બેસાડ્યા બાદ મહિલાની પ્રસુતિ પીડા વધુ તીવ્ર બની હતી. આથી, રેલવે ગોદી પાસે રોડની બાજુમાં એમ્બ્યુલન્સ રોકીને તેમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો. અગાઉ તેમને હોસ્પિટલમાંથી નોર્મલ ડિલિવરી શક્ય ન હોવાનું અને ઓપરેશન કરવું પડશે તેવું જણાવાયું હતું. વલસાડ 108ના EMT ચંદ્રાવતી પટેલ અને પાયલોટ બિપિન પટેલે પરિસ્થિતિ સંભાળી. EMTએ તપાસ કરતા જાણ્યું કે બાળકને સ્ટૂલ પાસ થઈ ગયું હતું અને ગળા પર નાળ વીંટળાયેલી હતી. તાત્કાલિક નાળ સરકાવીને બાળકનું માથું બહાર આવતા બાળકનો જીવ બચી ગયો. સફળ નોર્મલ ડિલિવરી બાદ ડોક્ટર કૃષ્ણાના નિર્દેશ મુજબ જરૂરી ઇન્જેક્શન, બોટલો અને ઓક્સિજન આપવામાં આવ્યા. બાળકને બેબી વોર્મ કરીને મધર્સ કેર આપવામાં આવી અને માતાની પ્લેસેન્ટા ડિલિવરી કરાવવામાં આવી. વધુ સારવાર માટે માતા અને બાળકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં ફ્લેટમાં તોડફોડ, પ્લોટના દસ્તાવેજ ચોરાયા:રિસામણે બેઠેલી પત્ની, સાળી-સાઢુ સામે ફરિયાદ
જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા અલમહંમદી એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય યુવાનના બંધ ફ્લેટમાં તોડફોડ અને કિંમતી પ્લોટના દસ્તાવેજોની ચોરી થઈ છે. આ મામલે યુવાને તેની રિસામણે બેઠેલી પત્ની, સાળી અને સાઢુભાઈ સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીની પત્ની છેલ્લા છ મહિનાથી રિસામણે પોતાના માવતરે રહે છે. જે તેની બહેન અને બનેવી સાથે યુવકના બંધ ફ્લેટમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ ફ્લેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, બારીના કાચ અને રસોડાના પ્લેટફોર્મ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ, પેટી પલંગમાં રાખેલા પડાણા ગામ પાસેના કિંમતી પ્લોટના દસ્તાવેજોની મૂળ અને નકલ બંને ફાઈલોની ચોરી કરી હતી. ફરિયાદી યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી ફ્લેટને તાળું મારીને ગયો હતો. એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસતા, પત્ની, સાળી અને સાઢુભાઈ દિવસ દરમિયાન એપાર્ટમેન્ટમાં પ્રવેશતા અને દસ્તાવેજોની ફાઈલ સાથે બહાર નીકળતા સ્પષ્ટ દેખાયા હતા. આ ફરિયાદના આધારે પી.એસ.આઇ. વી.આર. ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મહેતાપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હિંમતનગરના મહેતાપુરા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફુલહાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ અને પૂર્વ પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિશેષ રીતે ભાગ લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદનો પોશાક ધારણ કરીને હાથમાં ગીતા પકડી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદની તસવીર સાથે વિસ્તારમાં રેલી સ્વરૂપે ફર્યા હતા.
420 સાયકલિસ્ટોએ 73 કિમીની સફર ખેડી ઈતિહાસ રચ્યો ગિરનારની પ્રાકૃતિક સુંદરતા, આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્યના ત્રિવેણી સંગમ સમાન ‘રાજ્યકક્ષાની ગિરનાર પરિક્રમા સાયકલ યાત્રા’ માં આ વર્ષે ગુજરાત સહિત અન્ય રાજ્યોના કુલ 420 સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લઈને એક નવો ઈતિહાસ રચ્યો છે જેમાં ભાવનગરના 2 મહિલા સહિત 22 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, આ સાયકલ યાત્રાનું આયોજન અમદાવાદના ‘ગ્રીન રાઈડર્સ સાયકલિંગ ગ્રુપ’ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ફિટ ઈન્ડિયા ભાવનગર સાયકલ ક્લબ અને રાજ્યના અન્ય 11 સાયકલિંગ ક્લબોએ સહકાર આપ્યો હતો. જેમાં સવારે સરદાર પટેલ દરવાજા જૂનાગઢ થી શરૂ થઈ પૂર્ણ વિવેકાનંદ સ્કૂલ જેનું કુલ 73 કિલોમીટર થાય છે, ભાવનગર સાયકલ ક્લબના ઉત્સાહમાં આ વર્ષે મોટો ઉછાળો જોવા મળ્યો છે ગયા વર્ષે માત્ર 9 સભ્યો જોડાયા હતા, જેની સામે આ વર્ષે 22 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, જેમાં 3 મહિલા સાયકલિસ્ટોનો પણ સમાવેશ થાય છે આ તમામ સભ્યોએ 73 કિમીની કપરી ગણાતી રાઈડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર અને યુનિવર્સિટી કેમ્પસ ઓફિસર કલ્પેશસિંહ ઝાલાએ આ સફળતા બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક ઈવેન્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આધ્યાત્મિકતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે, યાત્રા પૂર્ણ કરનાર ભાવનગરના તમામ સાયકલિસ્ટોને ક્લબ દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, યાત્રાના આગલા દિવસે સાયકલિસ્ટોએ જૂનાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી, આ આયોજન દ્વારા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક બારબોરની બંદૂક અને ગાડી મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. પરમાર અને તેમની ટીમ કદવાલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. વહેલી સવારે આશરે ૧:૩૦ વાગ્યે કદવાલ કસ્બા ફળિયા તરફથી આવી રહેલી લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી-૮ ગાડીને પોલીસે અટકાવી હતી. ગાડીની તપાસ કરતા તેની પાછળની સીટ પરથી એક નાળીવાળી બારબોરની બંદૂક મળી આવી હતી. ગાડી ચલાવી રહેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ સોહીલ ઉર્ફે બારોટ હબીબભાઈ શેખ (ઉંમર ૨૨, રહે. છોટાઉદેપુર, હાલ રહે. દેવગઢ બારીયા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સોહીલ શેખ પાસેથી બંદૂક રાખવા અંગેના લાયસન્સ કે પાસ-પરવાનાની માંગણી કરતા, તે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. લાંબી પૂછપરછ બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પાસે આ હથિયાર રાખવાનો કોઈ કાયદેસરનો પરવાનો નથી. કદવાલ પોલીસે આરોપી સોહીલ શેખ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹૧૦,૦૦૦/- ની એક નાળીવાળી બારબોર બંદૂક અને ₹૧,૫૦,૦૦૦/- ની મહિન્દ્રા કોન્ટો સી ગાડીનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹૧,૬૦,૦૦૦/- છે.
સુરેન્દ્રનગર જિલ્લાના યુવકને લગ્નની લાલચ આપી રૂ.3.75 લાખની છેતરપિંડી કરનાર લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધારને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ અગાઉ આ ટોળકીના બે સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા. હાલમાં લુટેરી દુલ્હન સહિત ત્રણ આરોપી વોન્ટેડ છે. લુટેરી દુલ્હન ગેંગે 3.75 લાખ પડાવી લીધાવડોદરાના તરસાલી ખાતે રહેતી સોનાલીબેનના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા ગામે રહેતા તારાબેન ભલગામાના દિકરા લાલજી મનસુખભાઇ ભલગામા સાથે લગ્ન કરાવી નોટરાઇઝ સોગંદનામુ તથા લગ્ન સબંધી સમજુતી કરાર કરાવી રાજેશગીરી ગોસ્વામી, હેમંત રાજગીરી ગોસ્વામી, મહેંદ્ર પ્રજાપતિ, નાજીર તથા શરીફાબેન બચુભાઈ મુસ્લીમ તથા તોસીફ બચુભાઈ મુસ્લીમ દ્વારા તેમની પાસેથી રોકડા તથા ઓનલાઇન મળી કુલ રૂપિયા 3.28 લાખ, સોના અને ચાંદીના દાગીના સહિત અન્ય રોકડ રકમ, મોબાઇલ ફોન તમામ મળી રૂપિયા 3.75 લાખ પડાવી લીધા હતાં. સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ.…પરંતુ લગ્ન બાદ આરોપીઓએ સાસરીમાંથી એકવાર પિયરમાં સોનાલીને તેડી લાવ્યા હતા. દુલ્હન પણ સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ આવી ગઈ હતી. જેના કારણે દુલ્હન સોનાલીને પરત સાસરીમાં પરત નહી મોકલી યુવક તથા મહિલા સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. જેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લુટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયોમકરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરી લગ્નની લાલચ આપી છેતરપીંડી કરનાર લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધાર મહેન્દ્ર મોહન ઉર્ફે મોહનલાલ અંબાલાલ પ્રજાપતિ (રહે.ગોરાદ ગામ, પ્રજાપતિવાસ પો.સ્ટ.ગોરાડ તા-જી.મહેસાણા)ને ઝડપી પાડ્યો હતો. મહિલા સહિત ત્રણ વોન્ટેડઆ ઘટનામાં પોલીસે અગાઉ તોસીફભાઈ બચુભાઈ સંધી તથા સરીફાબેન બચુભાઈ સંધી ઝડપાયા હતા. જ્યારે લૂંટેરી દુલ્હન સોનાલીબેન નિલેશ શ્રીવાસ્તવ તથા હેમંતભાઈ ઉર્ફે ભયલુ બારોટ તથા નજીરભાઈ વોન્ટેડ જાહેર કર્યા છે.
પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં રવિવારે રાત્રે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તળાવના બ્યુટીફિકેશનના મજૂરો, કુબેરેશ્વર મહાદેવના સેવકો અને પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રવિવારની રાત્રે સિદ્ધિ સરોવરમાં કામ કરતા મજૂરોને 'બચાવો બચાવો'ના અવાજો સંભળાયા હતા. તેમણે તરત જ કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસ બારોટને આ અંગે જાણ કરી હતી. તપાસ કરતા જણાયું કે એક મહિલા સરોવરના પાણીમાં ડૂબી રહી હતી. આ ઘટનાની જાણ ફાયર ઓફિસર સ્નેહલને ટેલિફોન દ્વારા કરાતા, ફાયરની ટીમ બોટ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અંધારા અને કડકડતી ઠંડી વચ્ચે સ્નેહલ, તેમની ટીમ અને તેજસ બારોટે બોટમાં બેસી સરોવરની વચ્ચે પહોંચી મહિલાને પાણીમાંથી બહાર કાઢી હતી. પાણીમાં લાંબા સમય સુધી રહેવાને કારણે મહિલાનું શરીર ઠંડીથી અકડાઈ ગયું હતું. સેવકોએ તેમને બ્લેન્કેટ ઓઢાડી હૂંફ આપી હતી. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કિનારે લાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બચાવાયેલી મહિલા શહેરના હાઉસિંગ વિસ્તારમાં રહે છે. માનસિક અસ્થિરતાના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ફાયર ટીમ અને સ્થાનિક સેવકોની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે મહિલાનો જીવ બચાવી શકાયો છે.
ભરૂચ જેલમાં ડાયાબિટીસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:નિષ્ણાત ડોક્ટરે બંદીવાનોને આપી મહત્વપૂર્ણ માહિતી
ભરૂચ જિલ્લા જેલમાં ડાયાબિટીસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેલ અધિક્ષક એન.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રયાસ સંસ્થા, ભરૂચના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડાયાબિટીસ નિષ્ણાત ડો. રોહન પટેલે જેલના બંદીવાનોને ડાયાબિટીસ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ડો. રોહન પટેલે ડાયાબિટીસના લક્ષણો, તેની સારવાર, યોગ્ય આહાર, નિયમિત ચેકઅપ અને જરૂરી તકેદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેલના તમામ બંદીવાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માહિતી મેળવી હતી. કાર્યક્રમના અંતે, પ્રયાસ સંસ્થાના સભ્યો આશિષ બારોટ અને અનિલ વસાવાએ બંદીવાનો વતી ઉપસ્થિત ડાયાબિટીસ નિષ્ણાતનો આભાર વ્યક્ત કર્યો હતો.
ફલધરામાં ‘આદિવાસી આંગણે’ ઉત્સવ યોજાયો:વિસરાતી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોનું પ્રદર્શન કરાયું
વલસાડ તાલુકાના ફલધરા ગામે ‘આદિવાસી આંગણે’ ઉત્સવ સંસ્કૃતિનો મેળો યોજાયો હતો. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોનું જતન અને પ્રદર્શન કરવાનો હતો, જેથી યુવા પેઢીને આદિવાસી સંસ્કૃતિથી પરિચિત કરી શકાય. આ ઉત્સવમાં દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજની વિવિધ લોકગીત, લોકધૂન અને લોકનૃત્યની જાણીતી મંડળીઓએ ભાગ લીધો હતો. આદિવાસી સમાજના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર અને યુટ્યુબર્સે પણ મનોરંજનની સાથે સમાજ ઉપયોગી સંદેશ આપ્યો હતો. આ મેળાનું આયોજન ફલધરાના ડૉ. હેમંત પટેલ અને સમસ્ત ફલધરા ગામવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં બાળકોએ વિસરાયેલી પરંપરાગત રમતોનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, પ્રાચીન પરંપરાગત આદિવાસી વાનગીઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેણે મુલાકાતીઓને આદિવાસી ભોજનનો અનુભવ કરાવ્યો હતો અને સંસ્કૃતિના વિવિધ પાસાં રજૂ કર્યા હતા.
સુરેન્દ્રનગર પોલીસે ચેક રિટર્ન કેસના એક વોન્ટેડ આરોપીને વિસનગરમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પોલીસે 'દાણા જોવડાવવા'ના બહાને છટકું ગોઠવી તેને દબોચી લીધો હતો. જોરાવરનગરની શાળા નં. 9ની ગલીમાં રહેતા 38 વર્ષીય નિકુંજ વિનુભાઈ પરમાર સામે સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં ચેક રિટર્નના બે કેસ નોંધાયા હતા. ગત નવેમ્બર માસમાં કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપતા તેને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપી હાજર ન થતાં કોર્ટે તેની સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. જોરાવરનગર પીઆઈ એચ.જે. ગોહીલની સૂચનાથી બીટ જમાદાર મૂળજીભાઈ મકવાણા આ કેસની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે નિકુંજ જોરાવરનગરની જ એક યુવતીને ભગાડીને લઈ ગયો છે. હાલમાં તેઓ વિસનગર પાસે સવાલા બસ સ્ટેશન નજીક પ્રજાપતિ મહોલ્લામાં મૈત્રી કરારથી રહે છે. આરોપી નિકુંજ 'રાજા મેલડી'ના નામે દાણા જોવાનું કામ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તેને પકડવા માટે ખાસ પ્લાન બનાવ્યો. સુરેન્દ્રનગર પોલીસે ફોન કરીને દાણા જોવડાવવાનું કહી છટકું ગોઠવ્યું. વિસનગર પહોંચી પોલીસે દાણા જોવડાવી આરોપીને ઓળખી લીધો અને તેને પકડીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરાના રગડિયા પ્લોટમાં ગટર સફાઈ શરૂ:સ્થાનિકોની રજૂઆત બાદ નગરપાલિકાએ કામગીરી હાથ ધરી
ગોધરા શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા રગડિયા પ્લોટ વિસ્તારના રહીશોને લાંબા સમયથી ચાલી રહેલી ભૂગર્ભ ગટરની સમસ્યામાંથી રાહત મળી છે. સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગટર સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રગડિયા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની હતી. ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર રેલાતા હોવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી. આ ગંદા પાણીમાંથી પસાર થવું સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે મુશ્કેલ બન્યું હતું, જેના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો હતો. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે, આ રજૂઆતોને ધ્યાને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મશીનરી અને સફાઈ કામદારોની મદદથી ગટરમાં જામ થયેલો કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
મોગલ ધામના મહંત દક્ષાબાએ વડવાળા ધામની મુલાકાત લીધી:દુધઈમાં ગૌશાળાની સેવા જોઈ સંતોષ વ્યક્ત કર્યો
બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત મોગલ ધામના મહંત દક્ષાબાએ તાજેતરમાં દુધઈ ગામમાં આવેલા વડવાળા ધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ધામ ખાતેની ગૌશાળાના પણ દર્શન કર્યા હતા. ગૌશાળામાં ચાલી રહેલી ગૌ સેવાના આયોજન, સ્વચ્છતા અને ગૌ માતા પ્રત્યેની ભાવનાત્મક સેવા જોઈને મહંત દક્ષાબાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગૌ સેવા જેવા ધાર્મિક અને સામાજિક કાર્ય બદલ વડવાળા ધામના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત સમયે ધામના સેવાભાવી કાર્યકરો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
હીરા નગરી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્નકલાકારને પોલીસે રૂપિયા 5.03 લાખની કિંમતની બનાવટી(નકલી) ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૂળ અમરેલીનો શખ્સ ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવવા જતોપકડાયેલ આરોપી પરેશ પુનાભાઇ હડીયા (ઉંમર 27 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણાગામ વિસ્તારમાં રહે છે. તે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો. તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાકમાર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે. 5.55 લાખનો મુદ્દામાલ અને વાહન જપ્તપોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂપિયા 5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ (GJ05LU5480)નો સમાવેશ થાય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે. નકલી નોટોના કાળા કારોબારમાં એક વર્ષથી સંડોવાયેલોઆશ્ચર્યની વાત એ છે કે, આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે.
રાજકોટ શહેરમાં વસતા કિડનીની બીમારીથી પીડાતા મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલગ-અલગ 4 વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર હવે ડાયાલિસિસની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. છેલ્લા 4 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 180 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે અને અંદાજે રૂ. 54,000થી વધુની બચત કરી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં જે ડાયાલિસિસ માટે દર્દીઓને મોટો આર્થિક બોજ સહન કરવો પડે છે, તે ગુણવત્તાયુક્ત સારવાર હવે પાલિકાના કેન્દ્રો પર નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે. દરેક સેન્ટર પર 8 અત્યાધુનિક મશીનો કાર્યરતઃ અધિકારીઆરોગ્ય અધિકારી ડો જયેશ વાંકાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાના કુલ 4 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ સુવિધા કાર્યરત કરવામાં આવી છે. જેમાં નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર અને નાનામવા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આ ચારેય કેન્દ્રો પર અમદાવાદની પ્રખ્યાત કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC)ના સહયોગથી ડાયાલિસિસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર 2 મશીન મળીને કુલ 8 અત્યાધુનિક મશીનો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં મહાનગરપાલિકાએ મશીનરી અને RO પ્લાન્ટ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે, જ્યારે ટેકનિકલ અને મેડિકલ સ્ટાફનો સપોર્ટ IKDRC સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે. દર્દીઓને આર્થિક રીતે મોટી રાહતવધુમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં એક ડાયાલિસિસ કરાવવાનો ખર્ચ રૂ. 2500થી રૂ. 5000 સુધીનો થતો હોય છે. જો તેમાં જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો ખર્ચ ઉમેરવામાં આવે તો આ આંકડો રૂ. 7000થી રૂ. 8000 સુધી પહોંચી શકે છે. કિડનીના દર્દીઓને અઠવાડિયામાં 2થી 3 વખત ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે, જે મધ્યમ વર્ગના પરિવાર માટે આર્થિક રીતે કમરતોડ સાબિત થાય છે. રાજકોટ મહાપાલિકાના આ કેન્દ્રો પર ડાયાલિસિસની સાથે સાથે આવશ્યક દવાઓ પણ મફતમાં આપવામાં આવે છે, જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. 4 મહિનામાં 180 દર્દીઓને આશરે રૂ. 54,000થી વધુનો સીધો આર્થિક લાભ મળ્યો છે. સારવાર મેળવવાની પ્રક્રિયા અને સમયડાયાલિસિસની પ્રક્રિયા સમય માંગી લે તેવી હોય છે. એક ડાયાલિસિસ સાયકલ પૂર્ણ કરવામાં ઓછામાં ઓછી 4થી 5 કલાકનો સમય લાગે છે. આથી, દરેક મશીન પર બે શિફ્ટમાં દિવસ દરમિયાન કુલ 2 દર્દીઓની સારવાર શક્ય બને છે. આરોગ્ય કેન્દ્રોનો સમય સવારે 9થી 1 અને સાંજે 4થી 6 વાગ્યા સુધીનો રહે છે. ત્યારે લાભાર્થીઓએ 9થી 6ના સમય દરમિયાન એક દિવસ અગાઉ એડવાન્સમાં જાણ કરવાની રહે છે, ત્યારબાદ અપોઈન્ટમેન્ટ સિસ્ટમ દ્વારા તેમનો સમય નિર્ધારિત કરવામાં આવે છે. સેવા મેળવવા માટેની શરતોચેપી રોગોના ફેલાવાને રોકવા માટે તંત્ર દ્વારા ચોક્કસ નિયમો રાખવામાં આવ્યા છે. ડાયાલિસિસ દરમિયાન દર્દીના લોહીનું શુદ્ધિકરણ થતું હોવાથી, ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા વધુ હોય છે. આથી, જે દર્દીનો હિપેટાઈટીસ સી (Hepatitis C) નો રિપોર્ટ નેગેટિવ હોય તેવા જ દર્દીઓને અહીં પ્રવેશ આપવામાં આવે છે. બ્લડમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન હોવું જોઈએ તે અનિવાર્ય છે. જે દર્દીઓ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય અને જો તેમનો રિપોર્ટ નેગેટિવ હોય, તો તેઓ પણ આ સરકારી સેન્ટર પર શિફ્ટ થઈને મફત સેવાનો લાભ લઈ શકે છે. નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અપીલઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પણ મનપાની આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવી શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે મોટાભાગના દર્દીઓ PM-JAY કાર્ડ અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં જતા હોય છે, પરંતુ પાલિકાના આ કેન્દ્રો પર પણ નિષ્ણાંત સંસ્થા દ્વારા જ સારવાર અપાય છે, તેથી વધુને વધુ લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવો જોઈએ.
મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ પક્ષના જ સહ-પ્રભારી હિતુભા રાઠોડે પક્ષને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું છે. ‘AAPમાં ભાજપ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર’સભા દરમિયાન ભારે હોબાળા વચ્ચે સહ-પ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીમાં અંદરખાને ભાજપ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર ચાલે છે. અહીં નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં. 'દિલ્હીથી ગુંડા લાવી ગુંડારાજ ચલાવશે'હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતાં તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોને ટાંકીને જણાવ્યું કે, જે પક્ષ પોલીસને ‘ટોમી’ ગણે છે અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરે છે, જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડારાજ ચલાવશે. આ તાનાશાહી સહન ન થતા તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાહેર કર્યું હતું. રસ્તા પર AAPના ખેસ રઝળ્યા, લોકોએ કહ્યું- આના પર ચાલોસભાના સ્થળની બહાર પણ દૃશ્યો ચોંકાવનારા હતા. એક તરફ પક્ષ પરિવર્તનના દાવા કરતો હતો, ત્યારે બીજી તરફ રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોએ પણ પક્ષની આ ખેંચતાણ જોઈને રોષે ભરાઈને કહ્યું હતું કે, આ ખેસ પર ચાલો. પક્ષના આંતરિક ડખાને કારણે સભાનો મૂળ ઉદ્દેશ્ય બાજુ પર રહી ગયો હતો અને ચારેબાજુ રાજીનામા અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી. પક્ષમાં ભંગાણ: સહ-પ્રભારી હિતુભા રાઠોડનું રાજીનામુંસભા દરમિયાન જ એક મોટો વિવાદ સામે આવ્યો હતો. આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી હિતુભા રાઠોડને સ્ટેજ સુધી જવા ન દેવાતા હોબાળો મચ્યો હતો. ત્યાર બાદ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દેતા સનસનાટી મચી ગઈ છે. હિતુભા રાઠોડના ગંભીર આક્ષેપો: જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તો તેની સાથે 'ગુંડારાજ' આવશે. ગોપાલ ઇટાલિયાએ અગાઉ પોલીસ માટે જે પ્રકારની ભાષા વાપરી હતી અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરી હતી, તેવી માનસિકતા ધરાવતા લોકો સાથે હું કામ કરી શકું તેમ નથી. ગોપાલ ઇટાલિયાના સરકાર પર પ્રહારબીજી તરફ, મંચ પરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યોના કામ અધિકારીઓ કરતા નથી. જો વેપારીઓ અને કારખાનેદારો દબાયેલા રહેશે તો પરિવર્તન નિશ્ચિત છે. જોકે, પક્ષની અંદર જ ઉઠેલા આ બળવાએ ઇટાલિયાના દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ 'પરિવર્તન સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જોકે, એક તરફ પક્ષે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ પક્ષના જ સહ-પ્રભારીએ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. મોરબીમાં AAPએ શક્તિપ્રદર્શન તો કર્યું છે, પરંતુ આંતરિક અસંતોષ અને ગંભીર આક્ષેપો પક્ષ માટે આગામી સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે.
પાટણમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી:ઉત્તરના પવનો ફૂંકાતા લોકો ઠૂઠવાયા, આગામી દિવસોમાં ઠંડી વધશે
પાટણ શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર દિશાના પવનોની અસર હેઠળ સોમવારે સવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો પ્રભાવ વધ્યો છે. સોમવારે પાટણનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર દિશામાંથી ફૂંકાતા પવનોની ગતિમાં વધારો થવાને કારણે તાપમાનનો પારો નીચે ગયો છે. વહેલી સવાર અને રાત્રિના સમયે શહેરમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી પરોઢે તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ રહેતા વાહનચાલકો અને વહેલી સવારે કામ અર્થે નીકળતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. શહેરમાં ઠંડી વધવા સાથે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે. શહેરના જાહેર માર્ગો અને સોસાયટીઓના કોમન પ્લોટમાં મોર્નિંગ વોક માટે નીકળતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મહિલાઓ, યુવાનો, બાળકો અને વૃદ્ધો વહેલી સવારે કસરત, યોગા અને પ્રાણાયામ કરતા જોવા મળે છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે શહેરી વિસ્તારોમાં લોકો વહેલી સવારે અને મોડી રાત્રે લાકડા તેમજ છાણાં સળગાવી તાપણાં કરતા જોવા મળી રહ્યા છે.
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા મોટા ગોખરવાળા ગામ નજીક કેનાલના ભૂંગળામાં ફસાયેલા બે સિંહબાળનું વનવિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતની જાણકારી બાદ વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી સિંહબાળને સુરક્ષિત બહાર કાઢી તેમની માતા સાથે મિલન કરાવ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગે ગંભીરતા અને સંવેદનશીલતા દાખવી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. લીલીયા વન્યજીવ રેન્જનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વન વિભાગના કર્મચારીઓએ ખૂબ જ સાવચેતીપૂર્વક અને કુશળતાપૂર્વક કામગીરી કરીને સિંહબાળને સુરક્ષિત રીતે કેનાલના ભૂંગળામાંથી બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ સિંહબાળને કોઈપણ પ્રકારની ઈજા કે જોખમ ન થાય તે માટે તાત્કાલિક પિંજરામાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. વનવિભાગ દ્વારા સિંહણ માદાનું અવલોકન કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા. આસપાસના સમગ્ર વિસ્તારનું સઘન સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું અને સિંહણની હલચલ પર સતત નજર રાખવામાં આવી. રેસ્ક્યુ સ્થળ નજીક શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સિંહણ માદા રેસ્ક્યુ કરાયેલા સ્થળે આવી પહોંચતા, વનવિભાગ દ્વારા સિંહબાળ સાથે સિંહણનું સુખદ અને સ્વાભાવિક મિલન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યું. આ સમગ્ર રેસ્ક્યુ અને મિલન પ્રક્રિયા મદદનીશ વન સંરક્ષક વિરલસિંહ ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ લીલીયા વન્યજીવ રેન્જના સમર્પિત સ્ટાફ દ્વારા અત્યંત સંયમ, ધીરજ અને વ્યાવસાયિકતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. વન વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકો અને ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, વન્યજીવો સંબંધિત કોઈપણ આવી ઘટના જોવા મળે તો તાત્કાલિક લીલીયા વન વિભાગને જાણ કરે. જેથી સમયસર યોગ્ય કાર્યવાહી કરી શકાય અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ જળવાઈ રહે.
વાહન ચોરીના આરોપીને PASA હેઠળ અટકાયત:પોરબંદર પોલીસે આરોપીને સુરત જેલમાં મોકલ્યો
પોરબંદર પોલીસે વાહન ચોરી સહિત મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને PASA હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલ્યો છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી કરવામાં આવી હતી. આરોપી મનીષ ઉર્ફે મોબાઇલ ગીગાભાઇ મઢવી કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સામે PASA હેઠળ અટકાયત માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે તેની અટકાયતનો હુકમ કર્યો હતો. ત્યારબાદ, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વોરંટની બજવણી કરીને આરોપી મનીષ મઢવીને સુરત જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
તીથલ શાંતિનિકેતન સાધના કેન્દ્રના યોગસાધક અને વિદ્વવદ્વવર્ય મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ (બંધુત્રિપુટી) આજે વહેલી સવારે 82 વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી તીથલ સ્થિત જૈન ઉપાશ્રય – શાંતિનિકેતન સાધના કેન્દ્ર સાથે સંકળાયેલા હતા. તેમણે આધ્યાત્મિક સાધના, તપશ્ચર્યા અને ઉપદેશ દ્વારા અનેક ભક્તોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજીના કાળધર્મથી જૈન સમુદાયમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભક્તો અને અનુયાયીઓએ તેમના શાંતિમય જીવન અને આધ્યાત્મિક યોગદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજીની પાલખી અને અંતિમયાત્રા 12મી જાન્યુઆરી 2026, સોમવારના રોજ બપોરે 3 વાગે શાંતિનિકેતન સાધના કેન્દ્ર, તીથલથી નીકળશે. ત્યારબાદ તીથલના દરિયાકિનારે તેમની અંતિમ વિધિ અને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના ડીંડોલી કેનાલ રોડ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં પીવાના પાણીની લાઈન અને ગટરની લાઈન એકબીજાની અત્યંત નજીક અને ઉપર-નીચે નાખવામાં આવી રહી છે. પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા આ અણઘડ કામને કારણે ભવિષ્યમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની અને ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. ગાંધીનગરની ઘટના બાદ પણ તંત્ર ન જાગ્યુંગાંધીનગરમાં ફેલાયેલા રોગચાળામાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો જાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેમ જણાય છે. એક તરફ નવી ગટર લાઈન નખાઈ રહી છે, તો બીજી તરફ તેની સમાંતર જ પાણીની પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પાણીની લાઈન ઉપર બીજી પાણીની લાઈન અને તેની ઉપર ફરી ગટરની લાઈન નાખીને પાઈપલાઈનોના થર ખડકવામાં આવ્યા છે. ત્રણ-ત્રણ પાઈપલાઈનો એકસાથે નાખી દેવાઈઆ વિચિત્ર એન્જિનિયરિંગ જોઈને અંબિકા વિલાના રહીશો પણ ચોંકી ઉઠ્યા છે. ત્રણ-ત્રણ પાઈપલાઈનો એકસાથે નાખવામાં આવી છે, પરંતુ કઈ લાઈન ક્યાં જશે અને તેનો હેતુ શું છે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાલિકાના એન્જિનિયરોએ કેવા પ્રકારનું પ્લાનિંગ કર્યું છે કે ગટર અને પાણીની લાઈનો આ રીતે ભેગી કરી દીધી છે, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ખબર નથી પડતી આ લોકોને આગળ શું કરવાનું છેઃ પ્રદીપભાઈઅંબિકા વિલાના રહીશ પ્રદીપભાઈએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીંયા હું અંબિકા વિલામાં રહું છું. લગભગ દોઢેક મહિનાથી SMC વાળા અહીં ખોદીને ગયા છે. પાણીની લાઈન, ઉપર ગટરની લાઈન, ઉપર પાછી પાણીની લાઈન. આવી રીતે ખબર નહીં લાઈન ઉપર લાઈન કરી છે આ લોકોએ. ખબર નથી પડતી આ લોકોને આગળ શું કરવાનું છે. આ કોઈ નિર્ણય પણ નથી લઈ શકતા SMC વાળા. તો જરા ધ્યાન આપે આ બાબતનું અને આવી આવીને જોઈ જાય છે અને ફોટા પાડીને જાય છે.
મકરસંક્રાંતિ આ પર્વ આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિ પર્વને લઈને અલગ અલગ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પતંગ પર્વને લઈને બાળકો યુવાનો સહિતનાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉતરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગરસિયાઓમાં પતંગ, દોરી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓ બજારમાં ખરીદી કરી રહ્યા છે, પતંગ-દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો ગત વર્ષે 5 પતંગની કિંમત રૃપિયા 15થી રૂપિયા 20 હતી જેના માટે આ વર્ષે હવે રૂપિયા 20 થી રૃપિયા 25 ચૂકવવા પડશે, આમ, પંજે 5-10 રૂપિયાનો વધારો થયો છે આમ, પતંગ રૂ.6 થી લઈ 250 સુધી બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે, આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૃપિયા 100 હતી, પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે, આ વર્ષના પતંગ- દોરીના ભાવો આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં 1000 વાર દોરીના 100 થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200 થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 100 નંગ પતંગના ભાવો જોઈતો, સફેદ ચિલ રૂપિયા 300, કલર ચિલ રૂપિયા 360, કલર ચિલ પ્રિન્ટના રૂપિયા 420, લેમન ચિલ પ્રિન્ટના રૂપિયા 420, સફેદ પ્રિન્ટ ચિલના રૂપિયા 360, સફેદ ચાંદ ચિલના રૂપિયા 380, કલર ચાંદ ના રૂપિયા 420 હોલસેલ ભાવો જોવા મળ્યા છે, અવનવી વેરાયટીઓ જોવા મળી રહી પતંગના વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના પરેશભાઈ થાવરાણીએ જણાવ્યું કે આ વર્ષે પતંગ વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2026 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, આમ ઉતરાયણ પર્વ બ્યુગલ, ગેસના ફુગ્ગાઓ, ડોક્ટર પટ્ટી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓનો લોકો ખરીદી કરી રહ્યા છે, જોકે, ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે, નાના મોટા દરેક ને ટેરેસ પર પતંગ બાજી કરવા અવશ્ય જાય છે પતંગના હોલસેલના વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના શૈલષભાઈએ જણાવ્યું કે, કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 10 ટકા સુધી વધી ગઇ છે આ ઉપરાંત વખતે ઉત્તરાયણમાં પતંગનું વેચાણ સારું એવું થશે તેવી ઘરણાં વ્યક્ત કરી હતી આ વખતે પતંગની વેરાયટીઓમાં નાના નાના પતંગો લોકો ભગવાન શણગાર કરતા હોય છે ડેકોરેશન કરતા હોય છે, આ વર્ષે પતંગ ખંભાત, નડિયાદ, સુરત, બરોડા તથા અમદાવાદની અલગ અલગ ફેન્સી પતંગો બજારમાં વેચાણ અર્થે લાવ્યા છીએ, નાના મોટા દરેક ને ટેરેસ પર પતંગ બાજી કરવા અવશ્ય જાય છે.
ગાંધીનગરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટનગરમાં નવા વસેલા સમાજના પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધીનગરના સેક્ટર 22 સ્થિત રંગ મંચ ખાતે રવિવારે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષની પરીક્ષામાં સફળ થયેલા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દશનામ ગોસ્વામી સમાજની સલાહકાર સમિતિના અધ્યક્ષ સંજયભારતી ગોસ્વામીએ યુવાનોને સમાજ કાર્યોમાં આગળ આવીને સહયોગ આપવા હાકલ કરી હતી. દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ હિતેશભારતી કાનાભારતી ગોસ્વામીએ સમાજને સંગઠિત કરવા માટે સક્રિય યોગદાન આપવા સભ્યોને સૂચન કર્યું હતું. તેમણે ઉપસ્થિત પરિવારજનોને અપીલ કરી હતી કે ગાંધીનગરમાં નવા વસેલા અન્ય પરિવારોને પણ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા વિવિધ સમારંભો અને પ્રવૃત્તિઓથી અવગત કરાવવામાં આવે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રી મૃગેશભારતી ગોસ્વામી, પ્રદીપગીરી ગોસ્વામી સહિત સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
ગોધરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય પરિવાર દ્વારા રાજયોગીની સુરેખા દીદીના જન્મદિવસ અને રાજરુષિ ભવન, ગોધરાના વાર્ષિક દિવસ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજઋષિ રિટ્રીટ સેન્ટર, છારીયા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેનેડાથી બીકે નવીનભાઈ અને વસંત મસાલાના ડિરેક્ટર બીકે ઓમપ્રકાશભાઈ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુરેખા દીદી અને ગોધરા પરિવાર સાથેના પોતાના અનુભવો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. સુખશાંતિ ભવન, અમદાવાદથી રાજયોગીની અમરબેન પણ હાજર રહ્યા હતા. તેમની સાથે શહેરાથી બીકે રતનબેન, દાહોદથી બીકે કપિલાબેન, ઝાલોદથી બીકે મીતાબેન અને લુણાવાડાથી બીકે જ્યોત્સનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સૌએ દીદીજીને ઉત્તમ સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે શુભેચ્છાઓ આપી હતી અને સુરેખા દીદી સાથેના તેમના સ્મરણો રજૂ કર્યા હતા. બીકે સુરેખા દીદીએ સમગ્ર બ્રાહ્મણ પરિવારને બાબાની મુરલી ક્યારેય ન ભૂલવા જણાવ્યું હતું. તેમણે મળેલ શુભકામનાઓ અને આશીર્વાદ બદલ પરિવારના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. દીદીએ નવું વર્ષ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે તેવી પ્રાર્થનાઓ સાથે સૌને નૂતન વર્ષ 2026ના પ્રવેશની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 15 સેવાકેન્દ્રો અને 200થી વધુ ગીતા પાઠશાળાઓના 800થી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. સૌએ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી સ્નેહમિલન મનાવી, ભોજન પ્રસાદી સ્વીકારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બીકે લક્ષ્મણભાઈ, દેસાઈભાઈ, કનુભાઈ, શૈલેષભાઈ, કેતનભાઈ, ચિરાગભાઈ, સુરેશભાઈ અને શંકરભાઈ સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીકે ઈલા દીદી, સોનલ દીદી અને અન્ય બ્રહ્માકુમારી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.
ગોધરાના વિશ્વકર્મા ચોકમાં રોડનું કામ શરૂ:લાંબા સમયથી બિસ્માર માર્ગની સમસ્યાનો અંત આવશે
ગોધરા શહેરના વ્યસ્ત વિશ્વકર્મા ચોક અને જૂની પોસ્ટ ઓફિસ નજીકના બિસ્માર માર્ગની સમસ્યાનો હવે અંત આવશે. ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં નવીન ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તાર ગોધરા શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હતો. રસ્તા પરના ખાડાઓને કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. અકસ્માતનો ભય, ધૂળની ડમરીઓ અને વાહન વ્યવહારમાં અવરોધ જેવી સમસ્યાઓથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ પણ પરેશાન હતા. સ્થાનિકોની રજૂઆતો અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ગોધરા નગરપાલિકાએ આ માર્ગ પર નવીન ડામર રોડ બનાવવાનું આયોજન કર્યું હતું. મોડી રાત્રે મશીનરી અને મજૂરો દ્વારા રોડના નવીનીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
દહેગામ તાલુકાના મોટી મોરાલી ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને પોલીસને પડકાર ફેંક્યો છે. ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં રખોપું કરવા ગયો, ત્યારે રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 3.21 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ દહેગામ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. તસ્કરોએ દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યોદહેગામ તાલુકાના મોટી મોરાલી ગામના રાજાવતવાસમાં રહેતા ખેડૂત જયદિપસિંહ મોબતસિંહ રાજાવતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ઘટનાની વિગત મુજબ જયદિપસિંહ ગત સાંજે સાત વાગ્યે ઘરે દીવાબત્તી કરી ઘરને લોક મારી ખેતરે રાત્રિ રોકાણ માટે ગયા હતા. આ સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરની લોખંડની જાળીનો દરવાજો ખોલી મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તિજોરીમાંથી દાગીના-રોકડ લઈ ફરારતસ્કરોએ ઘરના બે અલગ-અલગ રૂમમાં રાખેલી તિજોરીઓને ફંફોળી હતી, જેમાંથી 20 હજાર રોકડા તેમજ સોનાનો દોરો, સોનાની વીંટી, સોનાનું લોકીટ અને ચાંદીના રમજા સહિત કુલ રૂ. 3.21 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીઆ અંગે પોલીસે જણાવ્યું કે, જયદિપસિંહની પત્ની હાલ સુવાવડ માટે પિયર ગયા છે. જયદિપસિંહ રાજાવત તેમના પિતા અને દાદા સાથે ખેતરે ઘઉંના પાકનું રખોપું કરવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ અંદાજે 26 ગ્રામ સોનાના ઘરેણાં અને 30 હજારની કિંમતના ચાંદીના દાગીના ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આજે રાત્રે 14 ડિગ્રી તાપમાનના કારણે શહેરી વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકોએ બહાર નીકળવાનું ટાળીને તાપણાનો સહારો લઇ રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ધ્રુજ્યાસમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં આવેલા ફેરફારને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ખાસ કરીને સવાર અને રાત્રિના સમયે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકો ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા છે. ઠંડીના કારણે સન્નાટાભર્યો માહોલઅમરેલી જિલ્લામાં ધારી ગીર જંગલ વિસ્તારમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. અમરેલી શહેર ઉપરાંત દરિયાકાંઠાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, લાઠી, બાબરા, બગસરા, વડિયા અને કુંકાવાવ સહિતના મોટાભાગના વિસ્તારોમાં સતત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે સન્નાટાભર્યો માહોલ છવાયો છે. તંદુરસ્ત રહેવા માટે નિયમિત વોકિંગ કરવું: ભૂપત જોષી દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ભૂપત જોષી જણાવે છે કે, વહેલી સવારે ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 70 વર્ષની ઉંમર હોવા છતાં તેઓ સવારે 5 વાગ્યે 6 કિલોમીટર સુધી વોકિંગ માટે નીકળે છે. તેમણે યુવાનોને પણ શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે નિયમિત વોકિંગ કરવાની અપીલ કરી હતી. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાહવામાન વિભાગના અનુમાન મુજબ, ઉત્તર દિશામાંથી ફૂંકાતી ઠંડી હવાના કારણે આગામી કેટલાક દિવસો સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને સાવચેતી રાખવા જણાવાયું છે. ઠંડી વધતા ચા, કોફી અને ગરમ નાસ્તાની માંગમાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અનુરોધઠંડીના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને તબીબોએ વૃદ્ધો અને બાળકોને ખાસ કાળજી લેવાની સલાહ આપી છે. સવારના સમયે બહાર નીકળતા પહેલા પૂરતા ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
વલસાડ રૂલર પોલીસે નકલી સોનાના સિક્કા અને 'બ્લેક મની'ના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે વલસાડ-ધરમપુર રોડ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી મોટરસાયકલ, નકલી સિક્કા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹49,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે કાળા કલરની પલ્સર મોટરસાયકલ પર બે ઈસમ ધરમપુરથી વલસાડ તરફ આવી રહ્યા છે. તેમની પાસે નકલી સોનાના સિક્કા છે અને તેઓ લોકોને છેતરવાના ઈરાદે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વાંકલ ગામના બોરડી ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની મોટરસાયકલ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. તેમાંથી કમલાકર સુરેશ ગાંગુર્ડે (રહે. વડપાડા, નાસિક, મહારાષ્ટ્ર) અને જયપ્રકાશ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકીયા પંઢરીનાથ મેહેર (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) નામના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નિર્દોષ લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી નકલી સોનાના સિક્કા પધરાવી દેતા હતા. તેમની પાસેથી ચલણી નોટના માપના કાળા કલરના કાગળો પણ મળી આવ્યા છે. તેઓ આ કાગળના બંડલની ઉપર અને નીચે અસલી નોટો મૂકી 'બ્લેક મની'ને અસલી નોટમાં બદલી આપવાના બહાને લોકોને છેતરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹49,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં MH 15 JY 4031 નંબરની ₹40,000ની કિંમતની મોટરસાયકલ, 152 નંગ નકલી સોનાના સિક્કા, ચલણી નોટના માપના કાળા કલરના કાગળના ટુકડા, ₹4,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને રોકડા ₹5,500નો સમાવેશ થાય છે. વલસાડ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 35(1) અને 105(1) હેઠળ આરોપીઓની અટકાયત કરી છે. આ ટોળકીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
VIDEO : અમેરિકાના લોસ એન્જેલસમાં રેલીમાં ખામેનેઈનો વિરોધ કરતા લોકોને ટ્રક ચાલકે કચડ્યાં
Los Angeles Video : ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોની આગ હવે અમેરિકા સુધી પહોંચી છે, જ્યાં લોસ એન્જલસમાં ઈરાનના પદભ્રષ્ટ રાજકુમાર રઝા પહલવીના સમર્થનમાં યોજાયેલી એક રેલીમાં હિંસક ઘટના બની હતી. ઈરાનની રાજાશાહી વિરોધી સંગઠન MEKનું સ્ટીકર લગાવેલી એક ટ્રક પ્રદર્શનકારીઓની ભીડમાં ઘૂસી ગઈ હતી અને લોકોને કચડતી આગળ વધી ગઇ હતી. આ હુમલામાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. આ ટ્રક પર 'No Shah' એટલે કે 'શાહ નહીં ચાહિયે' એવું લખેલું હતું.
ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી
North India Weather News : ઉત્તર ભારત રવિવારે હાડ થીજાવતી ઠંડીમાં થીજી ગયું હતું ત્યારે રાજસ્થાનમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહેતા સામાન્ય જનતાએ ઘરોમાં કેદ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કાશ્મિરમાં શોપિયાં માઈનસ 8.6 ડિગ્રી સે. તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. બીજીબાજુ દિલ્હીમાં પણ કેટલાક સ્થળો પર આ સિઝનમાં પહેલી વખત તાપમાન ત્રણ ડિગ્રીથી નીચે જતું રહ્યું હતું. ઉત્તર ભારતમાં હજુ કેટલાક દિવસ સુધી હાડગાળતી ઠંડી સાથે શીત લહેર યથાવત્ રહેવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.
ટ્રમ્પના ઇશારે ઇરાન ભડકે બળ્યું, 200થી વધુ શહેરોમાં દેખાવ, 550થી વધુના મોત, મસ્જિદોને આગચંપી
- મૃતકોમાં 100થી વધુ પોલીસકર્મી : 10 હજારથી વધુ લોકોની અટકાયત - આંદોલનકારીઓને આંખોમાં ગોળીઓ મરાઈ, અનેક ઘાયલ થતા હોસ્પિટલોમાં લોહીની અછત - ઇરાની લોકોએ લંડનમાં ઇરાનના હાઇ કમિશન પરથી ઇસ્લામિક ઝંડો ફાડીને ફેંકી દીધો - અમેરિકા એક પણ ગોળી છોડશે તો તેના સૈન્ય મથકો અને ઇઝરાયેલનો નાશ કરીશું : ઇરાનની ધમકી Iran Protest News : ઇરાનમાં કટ્ટરવાદી ઇસ્લામિક શાસન, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ સહિતના મુદ્દે જનતા બે સપ્તાહથી આંદોલન કરી રહી છે. આ આંદોલનને કચડી નાખવાના ખામેનેઇ પ્રશાસનના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે.
હૃદયની બીમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ:અફઘાની યુવકનું શંકાસ્પદ મોત,રૂમમાંથી મૃતદેહ મળ્યો
ફતેગંજમાં રહેતા અફઘાનિસ્તાની યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેના રૂમમાંથી મળ્યો હતો. આ યુવક મ.સ.યુનિ.ની આર્કિટેક્ચર ફેકલ્ટીમાં પીએચડી કરી રહ્યો હતો. સયાજીગંજ પોલીસે મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. યુવકને હૃદયની તકલીફ હતી અને તેનાથી મૃત્યુ થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ફતેગંજ નવયુગ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતો અફઘાનિસ્તાનના કારૂન શહેરનો 34 વર્ષીય બયાનઉલ્લા અહમદજાન જીયા પીએચડી કરતો હતો. 4 દિવસથી પરિવાર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો, પણ તેનો પ્રતિસાદ મળતો નહોતો. જેથી પરિવારે શનિવારે તેના મિત્રને તપાસ કરવા કહ્યું હતું. જેથી મિત્ર યુવકના ઘરે પહોંચતાં દરવાજો બંધ હતો. બયાનઉલ્લા દેખાતો ન હોવાથી પાડોશી પણ દોડી આવ્યા હતા અને તેમણે યુવકને 2 દિવસથી જોયા ન હોવાનું જણાવ્યું હતું. આખરે મકાન માલિક અને 112ને જાણ કરી દરવાજો તોડતાં રૂમમાં તે મૃત હાલતમાં પડ્યો હતો અને તેની આસપાસ કેટલીક દવા વિખરાયેલી હતી. સયાજીગંજ પોલીસે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, યુવકને હૃદયની તકલીફ હતી અને તેની આસપાસ જે દવા મળી તે હૃદયરોગ અને એસીડીટીની હતી. પોલીસ અને મ.સ.યુનિ.ના સત્તાધીશોએ તમામ કાર્યવાહી રવિવારે પૂર્ણ કરાવી સોમવારે મૃતદેહને અફઘાનિસ્તાન રવાના કરાશે. ગૂંગળામણ થાય તેવા રૂમમાં બયાનઉલ્લા 2 વર્ષથી રહેતો હતોપોલીસ મધરાતે બયાનઉલ્લાના ઘરે પહોંચી હતી. તેને હૃદયની તકલીફ હતી છતાં તે એવા ઘરમાં રહેતો હતો કે, જ્યાં સતત ગૂંગળામણનો અનુભવ થયા કરે. કોઈ પણ વ્યક્તિ 30 મિનિટથી વધારે તે ઘરમાં રહી ન શકે, છતાં તે 2 વર્ષથી તે ઘરમાં રહેતો હતો. તેણે અનુસ્નાતક રાજકોટ ખાતેથી કર્યું હતું.
આપઘાત:ગોત્રીમાં 15 વર્ષિય સગીરાનો બારીની જાળીમાં લેગિંગ્સ બાંધી ફાંસો ખાઈ આપઘાત
ગોત્રીના શિવાલય હાઈટ્સમાં રહેતી 15 વર્ષીય સગીરાએ લેગિંગ્સ દ્વારા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ગોત્રી પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ હાથ ધરી હતી. જોકે સગીરાના અંતિમ પગલાનું કારણ અકબંધ રહ્યું હતું. શિવાલય હાઈટ્સમાં રહેતા દિનકર શિંદે અને તેમની પત્ની મકરપુરા જીઆઈડીસીમાં નોકરી કરે છે. તેમના સંતાનમાં 2 પુત્રી અને એક પુત્ર છે. શનિવારે સાંજના 5-30 વાગ્યાના અરસામાં દિનકરભાઈનો 9 વર્ષનો પુત્ર ઘરની બહાર રમી રહ્યો હતો અને તેમની બીજા નંબરની પુત્રી અદીતિ ઘરમાં હતી. દીકરો ઘરે પહોંચ્યો ત્યારે અદીતિએ બારીની જાળી પર લેગિંગ્સ બાંધીને આપઘાત કરી લીધો હતો. દીકરાએ બૂમો પાડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન દિનકરભાઈનો ફોન આવતાં દીકરાએ જણાવ્યું હતું કે, દીદી કંઈ બોલતાં નથી અને ફાંસો ખાઈ લીધો છે. ઘટનાની જાણ કરાતાં ગોત્રી પોલીસે મૃતદેહને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પેવર બ્લોક મુદ્દે વિવાદ:વારસિયાના કોટ વિસ્તારમાં 2 વર્ષ પહેલા લગાડેલા પેવર બ્લોક કાઢીને નવા નખાશે
વારસિયામાં ઝૂલેલાલ મંદિર પાસે આવેલા કોટ વિસ્તારમાં ટી-બ્લોક પાસે 2 વર્ષ પહેલાં લગાડેલા પેવર બ્લોક કાઢી નખાયા હતા. મોટી માત્રામાં આ પેવર બ્લોક કચરામાં નાખી દેવાયા હોવાના આક્ષેપ યૂથ કોંગ્રેસના પ્રમુખે કર્યા હતા. શહેરમાં વિવિધ વિસ્તારોમાં લગાડાતા પેવર બ્લોક સમય જતાં કાઢી નાખી નવા લગાડાય છે. પેવર બ્લોક સારી હાલત હોય તેવા કિસ્સામાં પણ પેવર બ્લોક કાઢી નાખવામાં આવતા હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં.6ના વારસિયા ખાતે પેવર બ્લોક મોટી માત્રામાં કચરામાં પડેલા હોવાના આક્ષેપો યૂથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક તરફ કોર્પોરેટરો દ્વારા તેમને ફાળવાતા પ્રજાલક્ષી બજેટનો યોગ્ય ઉપયોગ કરાતો નથી. બીજી બાજુ સારા બ્લોક હોવા છતાં તેને કાઢી નવા બ્લોક નાખી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા. 2 વર્ષ પહેલાં જ આ પેવર બ્લોક નાખ્યા હતા, જેને કોઇ કારણ વગર કાઢી નાખીને કચરાના ઢગલામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. 10 વર્ષ ચાલે તેવા પેવર બ્લોક બે જ વર્ષમાં કાઢી નખાયા, અનેક વિસ્તારમાં પેવર બ્લોક મુદ્દે વિવાદપેવર બ્લોકની આવરદા 10 વર્ષ ચાલે તેવી હોય છે, છતાં 2 વર્ષમાં જ કાઢી નખાયા હતા. જેને પગલે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પેવર બ્લોક કેમ કાઢવામાં આવ્યા છે, તેની જાણકારી પણ અધિકારીને નથી. શહેરમાં વિવિધ વિસ્તારમાં પેવર બ્લોકને લઇને અનેક વિવાદો થાય છે, છતાં તેની કામગીરીનો ઇજારો કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આપી દેવાતો હોય છે.
કિશનવાડીમાં લકવાગ્રસ્ત દીકરીની તબીબી સારવાર રોકાવીને અંધશ્રદ્ધાથી પ્રેરાઈને તેના પિતા ઘરે લઈ આવ્યા હતા. ત્યારબાદ તેને સ્વસ્થ કરવા માટે કીમિયા શરૂ કર્યા હતા. પિતાએ યુવતીને ઘરના મંદિરમાં સૂવડાવી દઈને આસપાસ દીવડા પ્રગટાવ્યા હતા. જોકે યુવતીની માતાએ તેનો વિરોધ કરીને અભયમની મદદ માગી હતી. જેથી અભયમની ટીમ યુવતીના પિતા પાસે પહોંચી હતી અને તેઓનું કાઉન્સેલિંગ કરીને અંધશ્રદ્ધા દૂર કરીને યોગ્ય સારવાર કરાવવા માટે સમજ આપી હતી. તે પછી આખરે પિતાએ ખાતરી આપી હતી કે, દીકરીની યોગ્ય સારવાર કરાવશે. કિશનવાડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો છૂટાછેડાનો કેસ હાલમાં ચાલી રહ્યો છે. જેના તણાવમાં 2 મહિનાથી તેને લકવા થઈ ગયો હતો. લકવાની સારવાર લેવા માટે તેની માતા યુવતીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં 10 દિવસની સારવાર બાદ યુવતીને રજા અપાઈ હતી. જોકે તે બાદ યુવતીના પિતા તેની માતાની જાણ બહાર જૂના ઘરે લઈ ગયા હતા. જૂના ઘરમાં યુવતીના પિતાએ અંધશ્રદ્ધાથી પ્રેરાઈને કીમિયા શરૂ કર્યા હતા. તેમણે ઘરમાં બનાવેલા મંદિરમાં યુવતીને સૂવડાવી દીધી હતી અને તેની આસપાસ દીવા કરી દીધા હતા. યુવતીની માતાને આ વિશે જાણ થઈ ત્યારે તેઓએ પતિને સમજાવ્યા હતા. જેથી છેવટે માતાએ અભયમની સહાય લીધી હતી. અભયમની ટીમે યુવતીના પિતાને સમજાવ્યા હતા કે, ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ, આખરે ટીમે તેના પિતાનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા હતા. જેથી યુવતીના પિતા સમજી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર કરવા સહમત થયા હતા. યુવતીના પિતા તેની માતાને પણ સાથે નહોતા રાખતાલકવાગ્રસ્ત યુવતીની વય 30 વર્ષની હતી, તેની દૈનિક ક્રિયાઓ માટે તેની માતાની તેને જરૂર પડતી હતી. જોકે યુવતીના પિતા તેની માતાને સાથે રાખતા નહોતા. તેઓની વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો. તેના પિતા જ યુવતીના તમામ કામ કરતા હતા. જેથી અભયમની ટીમે પિતાને સમજાવ્યું હતું કે, દીકરી જુવાન છે, તેને તેની માતાની જરૂર પડે. જેથી પિતા તેની માતાની સાથે રાખવા સહમત થયા હતા.
સારાભાઈ કેમ્પસમાં શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં નશામાં ધૂત આધેડ મહિલાએ કાર દીવાલમાં અથાડી દીધી હતી. અકસ્માતનો બનાવ બનતાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરીને મહિલાને પોલીસને હવાલે કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મહિલા ગોત્રી ખાતે તેની મિત્રને ત્યાંથી દારૂ પીને આવ્યા હતા. શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શનિવારે સાંજે એક પૌઢ નશામાં ધૂત મહિલા કાર ચાલકે અકસ્માત કર્યો હતો. શનિવારે સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં એક કાર સારાભાઈ કેમ્પસમાં જઈને કેમ્પસની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા. કારમાં એક મહિલા સવાર હતી અને તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતી. જેથી લોકોએ ગોરવા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. મહિલા એ હદે દારૂ પીધેલી હાલતમાં હતી કે, તે પોતાનું સંતુલન પણ જાળવી શકતી નહોતી અને તેણે ધમાલ પણ કરી હતી. પોલીસે તેને મહામહેનતે પીસીઆર વેનમાં બેસાડીને પોલીસ મથક લઈ ગઈ હતી. પોલીસ મથકે પૂછપરછમાં, મહિલાને તેનું નામ, તેના ઘરનું સરનામાનું પણ ભાન નહોતું. જોકે તેણે જણાવ્યું હતું કે, તે ગોત્રીમાં તેની મિત્રના ઘરે ગઈ હતી અને ત્યાં તેણે દારૂ પીધું હતું. જેથી પોલીસે મહિલાના મોબાઈલમાં રહેલા આધારકાર્ડને આધારે તેની ઓળખ મેળવી હતી. તેની ઓળખ પ્રિયા તરીકે થઈ છે અને તેની વય 57 વર્ષ છે. જેથી મહિલાના પતિને જાણ કરીને તેઓને પણ પોલીસ મથક બોલવવામાં આવ્યા હતા. મહિલાની શારીરિક તપાસ કરાવીને નોટિસ આપીને તેઓને ઘરે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. રવિવારે સવારે તેઓને ફરીવાર બોલાવવામાં આવ્યાં હતાં અને તપાસ કરવામાં આવી હતી. પોલીસે પ્રિયાબહેનના ઘરે જઈને તપાસ કરી હતી, જોકે પોલીસે કંઈ મળી આવ્યું નહોતું. તેઓએ ગોત્રી વિસ્તારમાં કઈ જગ્યાએ દારૂ પીધો છે તેની પોલીસ શોધમાં છે. 57 વર્ષીય મહિલા ગોત્રીમાં મિત્રને ત્યાંથી દારૂ પીને આવ્યા હતા, પોલીસે નોટિસ આપી ઘરે જવા દીધા57 વર્ષની આધેડ મહિલા પ્રિયા કાર લઈને ગોત્રી વિસ્તારમાંથી નીકળી હતી અને તેઓને ઘરે જવાનું હતું. જોકે તેઓને કાર ચલાવતી સમયે હોશ નહોતો જેથી ગેંડા સર્કલથી સીધુ જવાને બદલે તેઓ સારાભાઈ કેમ્પસમાં જતા રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પ્રિયા અને તેમના પતિ વચ્ચે પણ ખટરાગ ચાલી રહ્યો છે અને તેમનાં સંતાનો વિદેશમાં રહે છે.
ભાસ્કર નોલેજ:મકરસંક્રાંતિ પૂર્વે શેરડીના ~70 અને બોરના ભાવ કિલોએ રૂપિયા 100-120 પર પહોંચ્યા
મકરસંક્રાંતિ પર શેરડી, બોર અને લીલા શાકભાજી દાન કરવાનો મહિમા છે. ત્યારે શહેરમાં બોર અને શેરડીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના વેપારીના જણાવ્યા મુજબ બોર મહેસાણાથી આવે છે. આ વખતે પાક ઓછો છે, જેથી ભાવમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 80 રૂપિયે કિલોના ભાવે વેચાતા બોર આ વખતે 100થી 120 રૂપિયે કિલો વેચાય છે શેરડી પણ ગત વર્ષે એક સાંઠો 50 રૂપિયામાં વેચાતો હતો, જે આ વખતે 70 રૂપિયા સુધી છૂટક બજારમાં વેચાય છે. જોકે આ અંગે આગળથી જ ભાવ વધારો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિ પર્વ પર દાનમાં બોર અને શેરડી સાથે શાકભાજી પણ આપવામાં આવે છે. માન્યતા મુજબ જે પરિવારમાં નાના બાળકો સ્પષ્ટ અને બરાબર બોલતા ના હોય તેમના નામે બોર વહેંચવામાં આવે છે, જેથી બાળકો બોલતા થાય છે. શહેરમાં ઠેર-ઠેર શેરડી અને બોરની હાટડીઓ જામી છે. શેરડીમાં માતા લક્ષ્મીજીનો વાસ હોવાથી માન્યતાશેરડીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. સાથે ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે. તેમજ આ સિઝનમાં પોષ્ટીક પદાર્થ દાન કરવામાં આવે છે. શેરડીનો નવો પાક આ સિઝનમાં આવે છે. તેથી તે પહેલા ભગવાનને ધરાવવામાં આવે છે ત્યાર પછી શેરડીને ઉપયોગમાં લેવાય છે. ઉત્તરાયણ પર્વ પહેલાંના છેલ્લા રવિવારે પતંગ બજારો ઉભરાયાવડોદરા | ઉત્તરાયણ પર્વ પહેલા છેલ્લો રવિવાર આવતા શહેરના બજારો પતંગ રસિકોથી ઉભરાયા હતા. આગામી બુધવારે ઉત્તરાયણ પર્વ છે. રવિવારે શહેરના માંડવી અને લહેરીપુરા વિસ્તારમાં આવેલા પતંગ અને દોરાના વેપારીઓને ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. જેે પગલે સાંજે એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.બીજી તરફ ન્યાય મંદિર પદ્માવતી પાસે પાલિકા દ્વારા રવિવારે પણ દબાણ શાખાની ટીમ અને વાહનો સ્ટેન્ડ બાય રાખ્યા હતા. શહેરના માંડવીથી ચોખંડી તરફના રોડ પર તેમજ પશ્ચિમમાં ચકલી સર્કલ તરફ પતંગ ખરીદવા તેમજ શેરડી અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે મહિલાઓની ભીડ જોવા મળી હતી. ૉ
મંડે પોઝિટીવ:બાળકોનું વચન: અમે તો શીખ્યાં, હવેથી માતાપિતાને પણ મોબાઈલથી દૂર રાખીશું
પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા ‘એક યુદ્ધ-રોગ વિરુદ્ધ’ થીમ સાથે રોગમુક્ત ભારત અભિયાન ચાલુ કરાયું છે. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 108 વિદ્યાર્થીઓને ધુમ્રપાન, તમાકુ-દારૂ અને અન્ય વ્યસનો ઉપરાંત મોબાઈલ, ટેબ્લેટના વધુ પડતા ઉપયોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતાં નુકસાનને રોકવા માટે માર્ગદર્શન અપાયું હતું. આ માર્ગદર્શન બાદ બાળકોએ પણ વચન આપ્યું હતું કે, અમે તો સ્ક્રીન એક્ઝપોઝરથી થતાં નુકસાન વિશે સમજ્યાં, હવે અમારાં માતા-પિતાને પણ મોબાઈલથી દૂર રાખવા પ્રયાસ કરીશું. ઉલ્લેખનિય છે કે, આ કાર્યક્રમ વડોદરાની એસ.ડી.પટેલ સ્કૂલમાં કુલ 20 કલાકનાં સત્રોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યાં હતાં. પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક ડો.કમલેશ શાહે જણાવ્યું હતું કે, 1-1 કલાકનાં 20 સત્રોમાં બાળકોને મેડિસીન અને નોન મેડિસીનના ઉપાયોથી રોગમુક્ત કેવી રીતે રહી શકાય તે વિશે સમજ આપી હતી. આ સત્રોમાં માનસિક સ્વાસ્થ્ય, ખાનપાનની આદતો સુધારવી, મોબાઈલ-ટીવીના વ્યસનથી છૂટકારો જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સત્રોમાં પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજનાં પ્રિન્સિપાલ ડો.અલ્પેશ શાહની પ્રેરણા હેઠળ ડો.આનંદ પટેલ, ડો.પ્રેક્ષા છાજેર અને તેમના હેઠળ તાલીમ પામેલા નિવારક આરોગ્ય યોદ્ધાઓની ટીમ દ્વારા આ વિષયને પોસ્ટર, નાટક, રમતો અને સવાલ-જવાબ વગેરેની મદદથી મલ્ટી મીડિયાનાં માધ્યમ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેમાં સ્ક્રીન એક્પોઝરને ઓછું કરવા માટે મોબાઈલનો ઉપયોગ ક્યારે ન કરવો અને ક્યારે કરવો તે અંગે સમજ અપાઈ હતી. મોબાઈલથી થતાં નુકસાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
ભારત-ન્યૂઝીલેન્ડની મેચ:ટ્રાફિકની ગુગલી, ચિક્કાર સ્ટેડિયમ-રોડ ચક્કાજામ
ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં પ્રેક્ષકો ઉત્સાહથી જોડાયા હતા. કોટંબી સ્ટેડિયમ પહેલીવાર હાઉસફુલ થઈ ગયું હતું. 30 હજારની ક્ષમતાવાળું સ્ટેડિયમ પહેલીવાર હાઉસફુલ થયું હતું. જોકે સ્ટેડિયમ સુધી પહોંચવા અને મેચ પૂર્ણ થયા બાદ બહાર નીકળવા પ્રેક્ષકો ટ્રાફિકની ‘ગુગલી’માં ફસાતાં રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. સ્ટેડિયમ સુધી પહોંચવા 8 કિમીનો ટ્રાફિક જામ થયો હતો. જ્યારે મેચ નિહાળવા માટે પહોંચેલા ચાહકોથી સ્ટેડિયમ ચિક્કાર થઈ ગયું હતું. વડોદરાથી કોટંબી પહોંચવા અને હાલોલ તરફ જવાના રોડ સાથે હાલોલથી જરોદ આવવાના રોડ પર પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિકમાં ક્રિકેટરોની બસ, વીઆઈપી, સહિત પ્રેક્ષકો ફસાયા હતા. લોકો સ્ટેડિયમથી એકથી બે કિમી દૂર પોતાના વાહન પાર્ક કરીને સ્ટેડિયમ સુધી ચાલીને પહોંચ્યા હતા. મેચ રવિવારે બપોરે દોઢ વાગે શરૂ થઈ હતી. જોકે મેચ શરૂ થયા બાદ પણ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા નહોતા. સ્ટેડિયમનું સાઉથ સ્ટેન્ડમાં અનેક સીટો ખાલી જણાતી હતી. 3 હજારથી વધુ લોકો મેચ શરૂ થયાના દોઢ કલાક બાદ જગ્યાએ પહોંચ્યા હતા. કોહલીએ 91 બોલમાં 93 રન ફટકાર્યા હતા. જોકે કોહલી આઉટ થઈ ગયા બાદ પ્રેક્ષકો નિરાશ થયા હતા અને સ્ટેડિયમ છોડી જવા લાગ્યા હતા. 3 હજારથી વધુ લોકોએ સ્ટેડિયમ છોડી દીધું હતું. અંતે કે.એલ.રાહુલ મેચને જીત તરફ લઈ ગયો હતો. ભારત મેચ જીતી જતાં પ્રેક્ષકોના ઈન્ડિયા-ઈન્ડિયા… ની બૂમોથી આખું સ્ટેડિયમ ગુંજી ઊઠ્યું હતું. પ્રેક્ષકોએ ભારતની જીત ઉત્સાહથી ઉજવણી કરી હતી. રસાકસીની મેચમાં એક ક્ષણે મેચ ડ્રો થશે તેવી પણ સંભાવના સર્જાઈ હતી. બધી ટિકિટ વેચાઇ હોવા છતાં એક તબક્કે અનેક ખુરશી ખાલી રહેતાં ઘાલમેલની ચર્ચાહાલોલ રોડ પર કોટંબીમાં પહેલીવાર ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં દર્શકો ઊમટી પડતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ભારતીય ટીમને લઈ જતી બસ ભણિયારા અને કોટંબી વચ્ચે ટ્રાફિકમાં અટવાઈ હતી.જેથી પોલીસે દોડી જઈ બસ સ્ટેડિયમ સુધી પહોંચાડી હતી. જ્યારે કોમેન્ટેટર હર્ષ ભોગલેએ ટ્રાફિક જામમાં ફસાયા હોવાનું ટ્વિટ કર્યું હતું. મેચ ચાલુ થયા બાદ 3 હજાર જેટલા લોકો પહોંચ્યા હતા. દૂર પાર્કિંગ અને સિક્યુરિટી ચેકથી દર્શકો કંટાળ્યા હતા. મેચ ચાલુ થવા છતાં સ્ટેડિયમમાં અનેક ખુરશી ખાલી રહી હતી. જેને પગલે એક તબક્કે ચર્ચા ચાલી હતી કે, તમામ ટિકિટો વેચાઈ ગઈ છે ત્યારે તેમાં કંઈ ઘાલમેલ તો નથી થઈને? હર્ષા ભોગલેનું નારાજગી વ્યક્ત કરતું ટ્વિટ જાણીતા કોમેન્ટેટર હર્ષ ભોગલે એ ટ્વીટ કર્યું હતું.જેમાં 8 થી 10 કિમી નો મેસિવ ટ્રાફિક જામ સ્ટેડિયમ જવાના માર્ગે થયો હોવાનું જણાવ્યું હતું.પોતે 1 કલાકથી રોડ ઉપર ફસાયો હોવાનું જણાવ્યું હતું.અને બધી ટિકિટો વેચાઈ ગઈ છે.હવે આપડે ઓડીઆઈ ક્રિકેટ મેચ માટે શું કહેવું. તંત્રે વાહનોનો અંદાજ લગાવવામાં થાપ ખાધીપોલીસ વિભાગ અને વહીવટી તંત્રે મેચના દિવસે 30 હજાર દર્શકો આવવાનો અંદાજ લગાવી વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જતા ભારદારી અને ખાનગી વાહનોનો અંદાજ લગાવવામાં થાપ ખાધી હતી. શુભમન ગીલના પિતા હોવાના બહાને બેરિકેડ્સ હટાવી બસ સ્ટેડિયમ પહોંચીમેચ ચાલુ થવાની કેટલીક મિનિટ અગાઉ 1.25 વાગે ટ્રાવેલર બસ સ્ટેડિયમના ઇસ્ટ બ્લોકના કનેક્ટિંગ રોડ પાસે વડોદરા તરફથી રોંગ સાઇડમાં આવી હતી. આ સાઇડથી એન્ટ્રી બંધ હતી. આ બસમાંથી એક વ્યક્તિએ ઊતરીને પોલીસને બસ બીસીસીઆઇની છે અને તેમાં શુભમન ગીલના પિતા છે, એમ કહેતાં પોલીસે કોઇ ખાતરી કર્યા વિના બેરિકેડ ખોલી નાખ્યાં અને રોંગ સાઇડ પર બસ જવા દીધી હતી. એરપોર્ટ સર્કલથી છેક કોટંબી સુધી રસ્તાઓ પર જર્સીઓ ખરીદવા પડાપડી, આખું સ્ટેડિયમ ટીમ ઇન્ડિયાની ભૂરી જર્સીના રંગે રંગાયુંવડોદરા. ક્રિકેટ મેચના પગલે ક્રિકેટની જર્સી, ચશ્મા, ટોપી સહિતના સામાનનું વેચાણ કરતાં પથારાઓ જોવા મળ્યા હતા. જેમાં રોહિત અને વિરાટ લખેલી જર્સીઓનું ધૂમ વેચાણ થયું હતું. ટોલ નાકા બાદ હાઇવે પર પથારાઓ વાળાને જોઇને હાઇવે પર જ કાર ઊભી રાખીને ફેન્સે ખરીદી ચાલુ કરી હતી. જેના પગલે કોઇ અકસ્માત થાય તે ટાળવા માટે પોલીસે પથારાવાળાઓને મુખ્ય રસ્તાથી અંદરની તરફ ખસેડ્યા હતા. પથારાવાળાઓએ બીસીએએ દર કિમીએ રસ્તાની સાઇડ પર કોટંબી સ્ટેડિયમનું સ્થાન અને કિમી દર્શાવતા દિશાસૂચક બેનર ભારતીય પ્લેયર્સ સાથેના મૂકેલા હતા. જ્યારે આખું સ્ટેડિયમ ટીમ ઇન્ડિયાની ભૂરી જર્સીના રંગે રંગાયું હતું. જય શાહ અને પ્રણવ અમીને વિરાટ કોહલી-રોહિતની 26 ફૂટ ઊંચા બેટમાંથી એન્ટ્રી કરાવીસચિન તેંડુલકરનો ફેન સુધીર કુમાર બપોરે 1 વાગ્યાના સુમારે તેના પરંપરાગત મેકઅપ, દંડા સાથેના તિરંગા સાથે ઇસ્ટ સ્ટેન્ડ પર એન્ટ્રી લીધી હતી. તેની એન્ટ્રી થતાં જ ચાહકોએ ફોટો લેવા પડાપડી કરી હતી. ત્યારબાદ તે ઇસ્ટ સ્ટેન્ડ પરની મેઇન એન્ટ્રી પર આવતાં જ તેને અટકાવવામાં આવ્યો અને ઝંડાનો દંડો કાઢવાનું કહ્યું ત્યારે સુધીર કુમારે કહ્યું કે, હું ઇન્ટરનેશનલ મેચો જોવા દુનિયાભરમાં જાઉ છું. જોકે આટલું જ કહેતા સમજી ગયેલા પોલીસકર્મીઓએ તેમને અંદર જવા દીધા હતા. સચિન તેંડુલરનાના ફેન સુધીર કુમારને દંડા સાથેનો તિરંગો લઈને એન્ટ્રી કરતાં અટકાવ્યોસચિન તેંડુલકરનો ફેન સુધીર કુમાર બપોરે 1 વાગ્યાના સુમારે તેના પરંપરાગત મેકઅપ, દંડા સાથેના તિરંગા સાથે ઇસ્ટ સ્ટેન્ડ પર એન્ટ્રી લીધી હતી. તેની એન્ટ્રી થતાં જ ચાહકોએ ફોટો લેવા પડાપડી કરી હતી. ત્યારબાદ તે ઇસ્ટ સ્ટેન્ડ પરની મેઇન એન્ટ્રી પર આવતાં જ તેને અટકાવવામાં આવ્યો અને ઝંડાનો દંડો કાઢવાનું કહ્યું ત્યારે સુધીર કુમારે કહ્યું કે, હું ઇન્ટરનેશનલ મેચો જોવા દુનિયાભરમાં જાઉ છું. જોકે આટલું જ કહેતા સમજી ગયેલા પોલીસકર્મીઓએ તેમને અંદર જવા દીધા હતા. પોલીસે પાણીની બોટલો સાથે લોકોને પ્રવેશ ન આપતાં સ્ટેડિયમ બહાર વિવિધ ચીજોનો ઢગલોક્રિકેટ ફેન્સ પાણીની બોટલો સાથે લઇને સ્ટેડિયમ તરફ જતાં પોલીસે એક તબક્કે મેઇન રોડની એન્ટ્રી પર જ અટકાવ્યા હતા. જેના લીધે એક સ્થળે પાણીની બોટલોનો ઢગલો થઇ ગયો હતો. આ ઉપરાંત પણ દંડા, થેલીઓ, સ્ટ્રો, પ્લાસ્ટિકની પિપૂડીઓ અને અન્ય ચીજોનો સમાવેશ થતો હતો. જોકે પોલીસ સાથે લોકોની દલીલબાજી પણ થઇ હતી. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો પહોંચતાં પિક પોકેટર્સને તડાકો, અનેકના મોબાઇલ ચોરાયાપ્રેક્ષકો સ્ટેડિયમ સુધી પહોંચતા ટ્રાફિકમાં ફસાયા હતા. બીજી બાજુ સ્ટેડિયમમાં પણ તે ઘણું ચાલીને પહોંચ્યા હતા. જોકે સ્ટેડિયમમાં પિક-પોકેટર્સ એક્ટિવ થયા હોવાનું જણાયું હતું. ઘણા લોકોના ફોન ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. મોટી સંખ્યામાં પ્રેક્ષકો ફોન ચોરીની ફરિયાદ નોંધાવે તેની શક્યતા છે.
હવે સીમાના ગૌરવના સાક્ષી બની શકાશે:લક્કી નાળા પાસે ક્રીકમાં સમુદ્રી સીમા દર્શન શરૂ કરાયું
લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા લક્કી નાળા ખાતે ગુજરાત ટૂરિઝમ દ્વારા ગત વર્ષથી “સમુદ્રી સીમા દર્શન” શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે પણ તેઓ જાણકાર થાય તેમજ અહીંની સરહદ પર તહેનાત દેશના બીએસએફના જવાનોની કામગીરીથી અવગત થાય તેવા હેતુસર ભારતમાં પ્રથમ વખત “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો, પણ ગત વર્ષથી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સમુદ્રી સીમાદર્શન પ્રોજેક્ટમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડ શરૂ કરવામાં આવી છે. જેનો રોમાંચ અલગ છે. બુકિંગ કેવી રીતે કરાવશો?હાલમાં શરૂઆતના તબક્કામાં 6 સીટરની એક બોટ સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર, કચ્છ ખાતે આવેલ હોટલ તોરણ ખાતેથી સંપર્ક નંબર 9824512730 તથા લક્કી નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકે છે. બોટમાં મહત્તમ 6 લોકો જઈ શકે છે. ટિકિટ વ્યક્તિદીઠ માત્ર 200 રૂપિયા છે. જેમાં એક કલાકની બોટ રાઇડ કરાવવામાં આવે છે. ક્રિકમાં પ્રવાસનનો વિકાસઆગામી સમયમાં ક્રિક વિસ્તારમાં ફ્લોટિંગ જેટી, વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, મેન્ગ્રુંવ વોક, ફૂડ કિઓસ્ક, ભૂંગા રિસોર્ટ ,એડવેન્ચર પાર્ક શરૂ કરાશે.
સિદ્ધિ:અન્ડર 16ની રાજયકક્ષાની સ્પર્ધામાં ભાઈઓને વોલીબોલમાં બ્રોન્ઝ મેડલ
તાજેતરમાં હિંમતનગર ખાતે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ફોર ધ ડેફ દ્વારા રાજ્ય કક્ષાની 14મો ઓલ ગુજરાત વોલીબોલ ચેમ્પિયનશીપનું ઉંમર પ્રમાણે અલગ અલગ ગૃપનું આયોજન થયું હતું. એમાં ભાવનગર સ્થિત શાહ કે એલ ઇન્સ્ટિટયૂટ ફોર ધ ડેફ સ્કુલના અંડર 16 વર્ષ ભાઈઓની ટીમે તૃતિય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ સિદ્ધિ બદલ ટીમ ખેલાડી શિરોયા ઝલક (કેપ્તન) વાઘેલા સોહમ,જાફરના દિવ્યરાજ,હડિયા દિપક,ભુવા જયેશ,જગરણા યશ અને તેમના રમત શિક્ષક અને કોચ હિતેશભાઈ વ્યાસ,સંદીપભાઈ ગોસ્વામી સાથે જનાર શિક્ષિકા જ્યોતિબેનને સફળતા બદલ ગીરીશભાઈ શાહ, અશ્વિનભાઈ પંડ્યા સમગ્ર શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવેલ છે.
વિમાનોના એન્જિનના ટર્બાઇનનાં પાંખિયાઓની ફરતે નિકલ કે ટાઇટેનિયમની સુપર એલોયમાંથી બનેલી હનીકોમ્બ રિંગનું ઉત્પાદન વડોદરામાં શરૂ થયું છે.વિમાની એન્જિન બનાવતા જનરલ ઇલેક્ટ્રિક (જીઈ)ના એક ઓર્ડર બાદ ભારત સરકારની વિમાની કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડે (HAL) હનીકોમ્બ માટે વાતચીત શરૂ કરી છે. અત્યાર સુધી હનીકોમ્બ અમેરિકાની 2 કંપની અને યુકેની 1 કંપની બનાવતી હતી. હવે USA-UKનો એકાધિકાર પૂરો થયો છે. વડોદરાની મકરપુરા જીઆઇડીસીની કંપની હવે ભારતની પ્રથમ ઉત્પાદક કંપની બની છે. વડોદરામાં નિર્મિત હનીકોમ્બની રિંગ બનાવીને ભારેખમ મેટલ પર વિશેષ પ્રકારની બ્રિઝિંગ (વેલ્ડિંગ નહીં) ટેક્નિકથી સજ્જડ ચોંટાડવામાં આવે છે. વિમાનના એન્જિન જ્યારે ટોપ સ્પીડે ધમધમે છે ત્યારે પાંખિયાઓની લંબાઇમાં સહેજ વધારો થાય છે. પાંખિયા અને વિમાનના મુખ્ય માળખા વચ્ચે હનીકોમ્બ રિંગ એક સંરક્ષણ દીવાલ તરીકે ઉપયોગી થાય છે. આ હનીકોમ્બ રિંગો હળવા વજન અને લોખંડથી 20 ગણી મજબૂતીથી મોટી વિમાની કંપનીની પહેલી પસંદગી બની છે. એક વિમાનના 2 સેક્શનમાં 4 રિંગની જરૂરવિમાનના એન્જિનના 3 પૈકી 2 સેક્શનમાં હનીકોમ્બ રિંગની જરૂર પડે છે. એક રિંગ 1 મીટર લાંબી અને 20 સેમી પહોળી હોય છે. જોકે વિમાનોના એન્જિનની સાઇઝ મુજબ તેનાં માપ અલગ હોય છે. એક હનીકોમ્બના ટચૂકડા સેલ (ખાના)માં વિભાજિત હોય છે. સેલની એક બાજુનું માપ 0.75 એમએમ જેટલું હોય છે. વિમાની કંપની TASLએ બરોડિયન હનીકોમ્બની ગુણવત્તાનું ઓડિટ શરૂ કર્યુંતાજેતરમાં કંપનીએ બેંગ્લોરમાં વિમાની પૂર્જાના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કંપનીના માલિક મહેશ પટેલ કહે છે કે, વડોદરામાં ટાટાની જે એરોપ્લેન ફેસિલિટી છે, તેમાં પણ હનીકોમ્બની જરૂર છે. ટાટાએ રસ દાખવ્યો છે. તેમની ટીમે કંપનીમાં આવી સુવિધાનું ઓડિટ શરૂ કર્યું છે.
વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) અને ISRO સાથે મળીને શરૂ કરેલ “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડતું અનોખા મોબાઇલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું હતુ. “સ્પેસ ઑન વ્હીલ્સ” નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે. “સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરની ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ અને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)ની એક્ઝિબીશન બસનું આજે રવિવારે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન થયું. આ ઉદ્ઘાટન પ્રસંગમાં મુખ્ય મહેમાન કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજ, જ્ઞાનમંજરી સંસ્થાઓના શિલ્પી મનસુખભાઈ નાકરાણી, જ્ઞાનમંજરી યુનિવર્સિટીના સીઈઓ એચ એમ નિમ્બાર્ક દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલપતિએ વિજ્ઞાન ગુર્જરી અને ઈસરો દ્વારા શરૂ થયેલ પહેલથી ગુજરાત અંતરિયાળ ગામો અને વિવિધ શહેરોના વિદ્યાર્થીઓમાં ભારતીય વિજ્ઞાન વિષે રુચિ જાગશે એવું જણાવ્યું હતુ. આ ઉપરાંત વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિદ્યાથીઓના હિત માટે થતા કાર્યોને બિરદાવેલ. તેથી આ મોબાઇલ પ્રદર્શન બસો ઉપર પ્રમાણેની તારીખો અને શાળાઓમાં ભાવનગરના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ લાભ મેળવે એવી જાહેર જનતાને અપીલ છે. આ પ્રસાંગે મનસુખભાઇ નાકરાણીએ વિજ્ઞાનગુર્જરી (વિજ્ઞાનભારતી) દ્વારા ઇસરોના સહયોગથી અયોજિત સ્પેસ ઓન વ્હીલ્સ પ્રદર્શનીની પ્રસંશા કરી આવતી કાલના ભવિષ્યના નાગરિકોને ઉર્જા સંરક્ષણ બાબતે જાગૃત કરવા માટે જેડા દ્વારા જે પ્રયત્ન કરવામાં આવેલ છે તે હાલના સમયની એક જરૂરિયાત છે. એચ એમ નિમ્બાર્ક જણાવેલ કે આગામી દિવસોમાં તારીખ 12 અને 13 તારીખે 10 થી 5 ક્લાક સુધી વિજ્ઞાનગુર્જરી દ્વારા આ બસોનું પ્રદર્શન જ્ઞાનગુરુ વિદ્યાપીઠ તથા કેપીએસ હાઇસ્કુલ ખાતે પણ યોજાઇ રહેલ છે તો ભાવનગરના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ પ્રદર્શનની અવશ્ય અચૂકપણે મુલાકાત લેવી જોઈએ. મોબાઈલ પ્રદર્શન બસ જોવાનું નિશુલ્ક રહેશે. આ બાબતે કોઈ પણ માહિતી માટે ડો. આસ્તિક ધાંધીયાનો મો.નં. 9824300647 તથા જિલ્લા સંયોજક પ્રો. મુંજાલ ભટ્ટનો મો.નં. 07048108208 પર સંપર્ક કરવો.
ઝળહળતી સિદ્ધિ:ટીમાણા ગામની શાળા બાળકોની રમત ગમત ક્ષેત્રે રાજ્યમાં સિદ્ધિ
ગણેશ શાળા - ટીમાણાના બાળકોએ રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી છે અને શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ મેળવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ખેલ મહાકુંભ 2026 અંતર્ગત પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર 14 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા - ટીમાણામાં અભ્યાસ કરતા બારૈયા હેત મેહુલભાઈ (ગામ રોયલ)એ 57 કિગ્રા વજન જૂથમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે પંડ્યા બદ્રી ચિરાગભાઈ (ટીમાણા)એ 44 કિગ્રા વજન જૂથમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રાજ્ય કક્ષાએ રમત ગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન થકી ગણેશ શાળા - ટીમાણાના આ બંને બાળકોએ ભાવનગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું હતું. રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાને રમત ગમત ક્ષેત્રે ઉત્તમ સિધ્ધિઓ પ્રદાન કરનાર બંને બાળકોને તથા તેમને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક પ્રવિણભાઈ પંડ્યા તથા શિક્ષક નિલેશભાઈ બાંભણિયાને શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ગોઝારો અકસ્માત:અકસ્માતમાં વલભીપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
નારી ચોકડીથી ધોલેરા હાઈવે પર માઢીયા નજીક મોટરસાઇકલ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં વલભીપુરના ભાજપ અગ્રણીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધોલેરા હાઇવે પર મહાવીર સોલ્ટ પાસે બેફામ સ્પીડે આવતા કાળમુખા ટેન્કર ચાલકે મોટરસાઇકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં વલભીપુર ગામના વતની અને વલભીપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ વનરાજભાઈ સુરેશભાઈ મેણીયાનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ અકસ્માત નો ભોગ બનેલા વનરાજભાઈ મેણીયા કડીયા કામ સાથે સંકળાયેલા હતા અને તેઓ પોતાના સંતાનો ને સારા શિક્ષણ સાથે ઉચ્ચ કારકિર્દી બને તેવા હેતુથી ભાવનગર ખાતે વસવાટ કરતા અને નિયમિત રીતે ભાવનગર થી વલભીપુર અપડાઉન કરતા હતા અલબત્ત કુદરતની કંઈક અલગ જ ગણતરી હશે કારણ કે તેની દિકરી થોડા સમય પહેલા જ ક્લાસ ટુ ઓફિસર તરીકે મામલતદાર તરીકે પસંદગી થઈ હતી અને હાલ કપડવંજ ખાતે ફરજ બજાવે છે આ અકસ્માત પણ વિચિત્ર રીતે સર્જાયો હોવાનું જણાય છે કારણકે ટેન્કર અને મોટરસાઇકલ એક જ દિશામાં જતા હતા અને મોટરસાઇકલ ટેન્કરની નીચે ઘણી જ ઉંડાઈ સુધી ઘુસી ગયુ હતુ
છેતરપિંડી:ટ્રકમાંથી કાચ સેરવી લઇ રૂા.2.25 લાખની છેતરપિંડી
ભાવનગર અને મહેસાણા ખાતે ટ્રાન્સપોર્ટમાં ટ્રક રાખી ચલાવતા ટ્રાન્સપોર્ટરનો એક ટ્રક અમદાવાદના દસક્રોઇથી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ટ્રકમાં સીલીકેટ ગ્લાસ કાચ 36.600 કિ.ગ્રામ ભરીને ડ્રાઇવર નિકળ્યો હતો. જે બાદ ભાવનગરની નારી ચોકડી પાસે આવેલ મધુસિલીકા કંપનીમાં ખાલી કરવા ગયા હતા જ્યાં 12.500 કિ.ગ્રા કાચની ઘટ આવતા ટ્રકના માલિકે તપાસ કરતા તેમની કંપનીમાં રહેલા મહેતાજી (કારકુન) એ ભાવનગરના સીદસર નજીક 12.500 કિલોગ્રામ કાચ સેરવી લઇ, ટ્રક માલિક સાથે રૂા. 2.25 લાખની છેતરપિંડી આચરતા ટ્રક માલિકે કંપનીના મહેતાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના નારેશ્વર સોસાયટી ચિત્રા ખાતે રહેતા અને ભાવનગર નારી ચોકડી નજીક વાઘેશ્વરી રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા કિશોરસિંહ અણદુભા વાઘેલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મહેસાણાના કડી ખાતે રાજમોતી ટ્રાન્સપોર્ટમાં તેમના ટ્રકો ચાલે છે. જે ટ્રક નં. GJ 12 AZ 9576માં દસક્રોઇમાં આવેલી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સીલીકેટ ગ્લાસ કાચ 36.600 કિલોગ્રામ ટ્રકમાં ભરવામાં આવ્યો હતો અને ટ્રકમાં નિલેશભાઇ નામના ડ્રાઇવર આ ટ્રક લઇને ભાવનગર મધુસિલીકા કંપનીમાં ખાલી કરવા માટે આવ્યો હતો. જે બાદ ટ્રક મધુસિલીકા કંપનીના વજન કાંટા ઉપર વજન કરવામાં આવતા 12.500 કિલોગ્રામની ઘટ આવતા ટ્રક માલિકને જાણ કરાઇ હતી. ટ્રક માલિકે તપાસ હાથ ધરતા તેમની સાથે રૂા. 2.25 લાખની છેતરપિંડી થયાની જાણ થતાં ટ્રક માલિકે તેમની કંપનીમાં મહેતાજીનું કામ કરતો કુલદિપસિંહ જાડેજા (રહે. કર્મચારી નગર, ફુલસર, ભાવનગર) વિરૂદ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વરતેજ -સિદસર નજીક અવાવરૂ જમીનમાં ટ્રકમાંથી સેકડો કિલો કાચ ખાલી કરી દિધોકંપનીમાં મહેતાજીનું કામ કરતો કુલદિપસિંહ જાડેજાએ ટ્રકના ડ્રાઇવરને ટ્રક નારી ચોકડી નજીક મુકીને જતું રહેવાનું કિધું હતું. જે બાદ કુલદિપસિંહ જાડેજાએ ટ્રકને વરતેજ સિદસર ખાતે લઇ જઇ, અવાવરૂ જમીનમાં 12.500 કિલોગ્રામ, કિ.રૂા. 2.25 લાખનો કાચ ટ્રકમાંથી સેરવી લઇ ટ્રક માલિક સાથે છેતરપિંડી આચર્યાની કુલદિપસિંહ જાડેજાએ ટ્રક માલિક સમક્ષ કબૂલાત આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... મહિલા IAS અધિકારીએ નવી ઓફીસમાં વાસ્તુશાસ્ત્રીઓની ટીમ બોલાવી,ITના સેટઅપ માટે પતિની મદદ લીધી31 ડીસેમ્બરે સરકારે સિનિયર આઈએએસ અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા હતા. જેમાં અમુક અધિકારીઓની જાણે હકાલપટ્ટી કરાઈ હોય તેવુ લાગતુ હતુ. આવા જ એક મહિલા અધિકારીએ તો બદલી બાદ તુરંત જ ચાર્જ છોડી દીધો હતો અને નવી જગ્યાનો હવાલો સંભાળી લીધો હતો. તેઓએ પોતાની ઓફિસમાં વાસ્તુશાસ્ત્ર મુજબ ગાઠવણ કરવા માટે વાસ્તુશાસ્ત્રીઓની ટીમને કામે લગાડી છે. ગત અઠવાડીયા દરમિયાન આ ટીમ બે વખત આવી હતી. બીજી બાજુ આ મહિલા અધિકારીએ પોતાની ઓફીસના ઈન્ટરનેટના તેમજ વીડિયો કોન્ફરન્સ,વાઈફાઈ વગેરેની ગોઠવણ માટે પોતાના આઈએએસ પતિદેવની મદદ લીધી હતી. પતિદેવે આઈટીની ટીમને પોતાને ત્યાંથી મોકલીને પત્નીની ઓફિસનુ સેટઅપ કરાવી દીધુ હતુ. IPS અધિકારીઓને પ્રમોશન બાદ હવે બદલીની તૈયારીગુજરાતમાં ફરજ બજાવનારા IPS અધિકારીઓના પ્રમોશન રાજ્ય સરકારે કર્યા છે ત્યારે હવે ચાલુ મહિનામાં IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી ચર્ચા જાગી છે. 3 વર્ષથી એક જ જગ્યાએ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે ખાસ કરીને તમામ રેન્જ આઈ.જી ઓની બદલીઓ થઈ શકે છે જેમાં બોર્ડર રેન્જ અને દક્ષિણ ગુજરાતની રેન્જ મેળવવા માટે થઈને કેટલાક અધિકારીઓએ લોબિંગ કર્યું હોવાની ચર્ચા છે. ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓની સાથે કેટલાક આઇએએસ અધિકારીઓની પણ બદલી થઈ શકે છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે બદલીઓ થશે જેથી રાજકીય નેતાઓના શરણે કેટલાક આઈપીએસ અને આઈએએસ પહોંચ્યા હોવાની ચર્ચા છે. હવે IAS-IPS અધિકારી અને MLA-MP સહિતના નેતાઓમાં હેર ટ્રાન્સપ્લાન્ટનો ક્રેઝગુજરાતના આઈએએસ અધિકારીઓ અને રાજકીય નેતાઓમાં હવે હેર ટ્રાન્સપ્લાટનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને 45ની ઉંમર પાર કરી ગયેલા આ મહાનુભાવોને હવે પોતાના માથે વધુ વાળ ઉગાડવાની ઈચ્છા જાગી છે. સરકારની વિવિધ જવાબદારી અને સ્ટ્રેસને કારણે અનેક વ્યક્તિઓને અકાળે વૃધ્ધત્વ આવી ગયુ હોય એવુ લાગે છે. સરકાર અને સંગઠનમાં જવાબદારી સંભાળતા સંભાળતા હવે પોતાના માથે વાળ પણ રહ્યા નથી. જેને કારણે અનેક યુવાન જેવા દેખાતા લોકો આધેડ અને વૃધ્ધ જેવા દેખાઈ રહ્યા છે. આ સ્થિતિ નિવારવા માટે છેલ્લા એક વર્ષ દરમિયાન જ કેટલાક IAS અને IPS અધિકારીઓ ઉપરાંત અમુક ધારસભ્ય-સાંસદ અને રાજકીય નેતાઓએ હેર ટ્રાન્સપ્લાન્ટનો આશરો લીધો છે. તેઓ પોતાના મિત્રો સાથે વાતચીત કરે ત્યારે હળવા સ્વરમાં કહે છે કે, હવે અમારા માથે માત્ર દેખાવ પુરતા જ વાળ રહ્યા છે. અમારી ઉંમર કરતા અમે 10 વર્ષ વધુ મોટા દેખાઈએ છીએ. જો કે, એ વાત પણ નિશ્ચિત છે કે, નેતાઓને તો ઉંમર સાથે કોઈ ફરક પડવાનો નથી પરંતુ અધિકારીઓને તો તેમના માથામાં મોટા અને કાળા વાળ હશે તો પણ 60 પૂરા થાય એટલે વય નિવત્ત થવાનુ નિશ્ચિત જ છે. વડોદરા ભાજપના ધારાસભ્યોએ કયા નેતાના ઈશારે મુખ્યમંત્રીને ફરિયાદ કરી?ભાજપના વડોદરાના ભાજપના ચાર ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં કલેકટર-કમિશનર સહિતના આઈએએસ અધિકારીઓ લોકોના કામો કરતા નથી. અમારુ પણ સાંભળતા નથી. સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવુ એ કોમનમેન માટે યુધ્ધ લડવા સમાન છે. કલેક્ટર ઉપરાંત ડીડીઓ,ડીએસપી અને પોલીસ કમિશનર પ્રજા અને જનપ્રતિનિધિનુ પણ સાંભળતા નથી.આ અગાઉ પણ 2018 અને 2022માં પણ આ રીતે રજૂઆતો થઈ હતી. મંત્રીમંડળમાં વડોદરાના મનીષાબેન વકીલ એક માત્ર ધારાસભ્યને લેવાયા હોવાથી વડોદરાના રાજકીય નેતાઓમાં આક્રોશ છે. સચિવાલયમાં ચર્ચા છે કે, ભાજપના જ કોઈ મોટા નેતાના ઈશારે આ પ્રકારની ફરિયાદ મુખ્યમંત્રીને અપાઈ છે. મુખ્યમંત્રીની ઈમેજને ધક્કો પહોંચાડવા માટે આ પ્રકારની ગતિવિધિ શરુ કરાઈ હોવાની પણ ચર્ચા છે. ઉપરાંત આગામી સમયમાં કેટલાક બોર્ડ નિગમોમાં રાજકીય નિમણૂકો થવાની છે. જેથી હાલમાં હાઈકમાન્ડ પર દબાણ લાવીને બોર્ડ નિગમોમાં સ્થાન મેળવવાની યોજના પણ છે. IAS કેડરમાં પેઢી બદલાઈ રહી છેગુજરાતના વહીવટી તંત્રમાં આ વર્ષ થોડું અલગ છે. એક જ વર્ષમાં 22 IAS અધિકારીઓ સેવા પૂર્ણ કરી રહ્યા છે. ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે આમાંથી સીધી UPSC ભરતીના માત્ર એક જ અધિકારી નિવૃત્ત થવાના છે – હાલના ચીફ સેક્રેટરી એમ.કે. દાસ. એક સમય એવો હતો જ્યારે દર વર્ષે દસથી પંદર સીધી ભરતીના IAS નિવૃત્ત થતા. હવે એ ટ્રેન્ડ તૂટ્યો છે. આજે જે નિવૃત્તિઓ છે તે મોટેભાગે GASમાંથી ઉપર આવેલા અધિકારીઓની છે. એટલે કહી શકાય કે સચિવાલયમાં એક આખી પેઢી શાંતિથી પડદો પાડતી જાય છે. આ વર્ષે નિવૃત્ત થનારા મોટાભાગના અધિકારીઓ એવા છે જેમણે વર્ષો સુધી GAS કેડરમાં કામ કરી પછી IASનો બેજ મેળવ્યો હતો.આ અધિકારીઓએ કલેક્ટરથી લઈને સચિવાલય સુધીની જવાબદારીઓ સંભાળી, પરંતુ હવે એક પછી એક તેઓ બહાર જઈ રહ્યા છે. આવનારા વર્ષોમાં નિર્ણય પ્રક્રિયામાં યુવાન અને સીધી ભરતીના IAS અધિકારીઓનું વજન વધશે, એવી ચર્ચા સચિવાલયના કોરિડોરમાં સંભળાય છે. પ્રમુખ માટે મહેનત કરી છે તો ક્યાંક તો સ્થાન મળવાની આશાગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની આગળ પાછળ ફરનારા અને જવાબદારી નિભાવી ચૂકેલા એક નેતા હવે આજકાલ ગીતો ગાવામાં વ્યસ્ત થઈ ગયા છે. પ્રદેશ સંગઠનમાં સ્થાન મળી જશે એવા કોન્ફિડન્સ સાથે ફરતા આ નેતા સૌરાષ્ટ્રમાં બધા નેતાઓની આગળ પાછળ ફરતા જોવા મળે છે. કાર્યક્રમમાં જઈને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં રિલ્સ મુકતા થઈ ગયા છે. ભાજપ પ્રદેશ સંગઠનમાં સ્થાન મળશે એવી એમને ખૂબ આશા હતી પરંતુ તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે જોકે હજી તેઓને આશા જીવંત છે કે ક્યાંક ને ક્યાંક તો તેમને નાનો હોદ્દો આપીને પ્રમુખ માટે આટલી મહેનત કરી છે તો તેનું નાનું ફળ તો મને ક્યાંક ચોક્કસ આપી શકે છે. જેથી કાર્યક્રમોમાં ફરી નેતાઓને આગળ પાછળ ફરતા જોવા મળ્યા છે. પ્રદેશ મહામંત્રીનું જેમને સ્થાન મળ્યું છે એમના કરતાં આગળ પોતે ફરતા જોવા મળે છે જોકે હવે તો કાર્યક્રમ ના હોય ત્યારે નવરા બેઠા ગીતોમાં સારો એવો સૂર પુરાવી રહ્યા છે. PMના બંદોબસ્ત સમયે ધારાસભ્ય અને IPS અધિકારી વચ્ચે રકઝકવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 11 જાન્યુઆરીના રોજ સાંજે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા ત્યાંથી સીધા ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રો લીલી ઝંડી આપવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાનને આવકારવા અને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સહિતના લોકો પણ સાંજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા વડાપ્રધાનના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને લોકોને ઊભા રહેવા માટે સ્થાન નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ભાજપના એક ધારાસભ્ય રેલીંગ બહાર ઊભેલા હતા. જેથી પોલીસ બંદોબસ્તમાં હાજર એક IPS અધિકારીએ ધારાસભ્યને રેલીંગ અંદર જવાનું કહેતા ધક્કામુક્કી થઈ હતી. ધારાસભ્ય અને એસપી વચ્ચે ઉગ્ર રકઝક થઈ હતી. અંતે LCB અધિકારીઓ દ્વારા ધારાસભ્યને સ્થળ પરથી દૂર કર્યા હતા. ધારાસભ્ય BJP અને એસપી વચ્ચે થયેલી બોલાચાલી હાજર નેતાઓ - કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની હતી. પાણી બચતનો મુદ્દો ફરી ફાઈલમાં ચગ્યોગુજરાતમાં પાણીની માગ દર વર્ષે વધી રહી છે, પરંતુ પાંચ વર્ષ પહેલા બનેલી વોટર રિસાયકલ નીતિ જમીન પર દેખાઈ નહીં. હવે સરકાર ફરીથી એ ફાઈલ ધૂળમાંથી બહાર કાઢી રહી છે. આ વખતની ચર્ચા કડક છે – ઉદ્યોગો, મોટા બિલ્ડિંગ પ્રોજેક્ટ, નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓમાં રિસાયકલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાની તૈયારી છે. આ પહેલા પાણી પુરવઠાની જવાબદારી એક જ વિભાગ પાસે હતી, હવે અર્બન ડેવલપમેન્ટ વિભાગને પણ સીધો રોલ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં રોજ હજારો મિલિયન લીટર ગંદું પાણી સાફ થાય છે, પણ મોટાભાગનું પાણી ફરી ઉપયોગમાં આવતું નથી. ખર્ચ થાય છે, લાભ નથી – અને સરકાર હવે આ ગણિત બદલી દેવા માંગે છે. BSF માટે ગુજરાત તરફ નજરદિલ્હીમાં ચાલી રહેલી ચર્ચાઓમાં એક નામ વારંવાર સામે આવે છે, અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક BSFના વડાની ખુરશી ખાલી થતાં કેન્દ્ર સરકાર યોગ્ય અને અનુભવી અધિકારી શોધી રહી છે. મલિક અગાઉ સરહદી દળમાં ફરજ બજાવી ચૂક્યા છે અને બેચ સિનિયોરિટીમાં પણ આગળ છે. જો આ પસંદગી થાય, તો અમદાવાદમાં પણ વહીવટી ચક્ર ફરી વળશે. શમશેરસિંહઃ હાજર તો છે, પણ પોસ્ટિંગ નહીંદિલ્હીથી પરત આવેલા સિનિયર IPS શમશેરસિંહ રાજ્યમાં હાજર છે, પરંતુ પોસ્ટિંગ વગર. નિવૃત્તિ નજીક છે, છતાં હજુ કોઈ સ્પષ્ટ જવાબદારી સોંપાઈ નથી. પોલીસ વિભાગની બહાર તેમને ટૂંકા ગાળાનો હવાલો મળે કે નહીં એ મુદ્દે અલગ-અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. કલેક્ટરોની બદલી હવે સમયની રાહેમતદાર યાદી સુધારણાનું કામ પૂરું થતાં જ કલેક્ટરોની બદલીઓ આવશે એવું લાગી રહ્યું છે.કેટલાક જિલ્લાઓમાં તો ખુરશી ખાલી થવી નિશ્ચિત છે ક્યાંક પ્રમોશન, ક્યાંક નિવૃત્તિ. એટલે ફેબ્રુઆરીના અંતમાં ફરી એક વખત ટ્રાન્સફર લિસ્ટ ચર્ચામાં રહેશે. માર્ગ-મકાન વિભાગના સેક્રેટરીપદેથી પટેલીયા નિવૃત્ત થશે, કોને મુકવા તે પ્રશ્ન સરકાર માટે માથાનો દુઃખાવોઆગામી માર્ચ મહિનામાં માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી પ્રભાત પટેલીયા વય નિવૃત્ત થવાના છે. આ પોસ્ટ સંપૂર્ણ ટેકનિકલ છે. જેથી કોઈ આઈએએસ અધિકારીની અહીં નિમણૂક કરાતી નથી. હવે સ્થિતિ એવી છે કે, આ જગ્યા પર નિમણૂક કરવા માટેની લાયકાત ધરાવતા અધિકારીઓની સંખ્યા હવે આંગણીને વેઢે ગણાઈ એટલી જ છે. જેથી સરકાર માટે નવી નિમણૂકનો પ્રશ્ન હવે માથાનો દુઃખાવો બની ગયો છે. સરકાર આ વખતે કોઈ આઈએએસ અધિકારીને આ જગ્યા પર મુકીને નવો પ્રયોગ કરવા માગે છે. જેને લઈને ચર્ચા છે કે, આ જગ્યા ટેકનિકલ હોવાથી આવો નિર્ણય સરકાર માટે સાપે છછુંદર ગળ્યા જેવુ થશે. કેમકે તેઓ પ્રેક્ટિકલી નિર્ણય લઈ શકતા નથી જ્યારે ચીફ એન્જીનિયર ગમે તેમ કરીને ફોલોઅપ કરાવી શકતા હોય છે. જ્યારે આઈએએસ અધિકારીઓ જવાબદારી લેતા નથી. આ પોસ્ટ પર નિમણૂક માટે ચીફ એન્જીનિયર તરીકેનો જરૂરી અનુભવ હોય એવા એન્જીનીયરો પણ નથી. જેને લઈને ચર્ચા એવી છે કે, સરકાર કદાચ નિવૃત્ત થઈ રહેલા પટેલીયાને પણ કોન્ટ્રાક્ટ બેઝ પર રાખી શકે છે. બીજો વિકલ્પ એ છે કે, અગાઉના નિવૃત્ત થયેલા એ.કે. પટેલને ફરીથી કોન્ટ્રાક્ટ બેઝ પર લઈ શકાય છે. જો કે, આ જ રીતે આ પોસ્ટ પર લાંબો સમય ફરજ બજાવનારા સંદીપ વસાવાનુ નામ પણ બોલાઈ રહ્યુ છે. હવે સરકાર કોના પર પસંદગી ઉતારે છે તે જોવાનુ રસપ્રદ બનશે. મુખ્યમંત્રીએ જૂદા જૂદા વિભાગોના અધિકારીઓ પાસેથી મંજૂર થયેલા કામના હિસાબનો રિપોર્ટ માગ્યોગુજરાત સરકારના મોટાભાગના ડીપાર્ટમેન્ટોમાં છેલ્લા પાંચેક વર્ષથી કામોની તેમજ પ્રોજેક્ટોની ગતિ ધીમી પડી ગઈ છે. ખાસ કરીને પૂર્વ મુખ્ય સચિવ રાજકુમારના બે વર્ષના સમયગાળા દરમિયાન વહીવટી તંત્ર ખાડે ગયુ હતુ. તમામ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની શંકા રાખીને રાજકુમાર એ પ્રકારનુ વર્તન કરતા હોવાથી કોઈ અધિકારી કશુ કરવા માગતા નહોતા.જેને કારણે વહીવટી અસ્થિરતા આવી ગઈ હતી. હવે મંદ પડેલા કામોમાં ગતિ આવવાનુ શરુ થયુ છે. બીજી બાજુ, મુખ્યમંત્રીએ પણ અધુરા અને લટકતા કામો ખુબ જ ઝડપથી થાય તે માટેના પ્રયાસો શરુ કર્યા છે.મુખ્યમંત્રીએ તમામ વિભાગોના વડા પાસેથી નવા-જૂના કામોનો હિસાબ માગવાનુ શરુ કર્યુ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન મંજૂર થયેલા અને અમલીકરણના તબક્કાના કામોનો રિપોર્ટ રજૂ કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. ઉપરાંત ચાલુ વર્ષના બજેટમાં અધુરાં રહેલા કામોની વિગતો પણ માગવામાં આવી છે.ખાસ કરીને જમીન મહેસૂલની સમસ્યાઓ, ઉદ્યોગોનું વિસ્તરણ, વધતો જતો ટ્રાફિક, માર્ગો-પુલોનું નવીનીકરણ, હવા-પાણી પ્રદૂષણ સહિતના મુદ્દાઓની ચર્ચા કરાઈ છે. વિભાગના અધિકારી અને મંત્રી વચ્ચે સંકલન તેમજ ગુણવત્તાયુક્ત કામો કરવાની સૂચનાઓ અપાઇ છે. આગામી ફેબ્રુઆરીમાં 2026-27ના વર્ષનું બજેટ રજૂ થવાનુ હોવાથી અધુરાં કામોને ઝડપથી પુરા કરવા અધિકારીઓને એક્શન પ્લાન બનાવવા કહેવાયું છે. પ્રભારી સાથેની બેઠક પૂરી થાય તે પહેલા જ ધારાસભ્ય નીકળી ગયા!રાજ્યના કેબિનેટ મંત્રી અને અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેની સંકલન બેઠક લેવા માટે આવ્યા હતા. જે પણ વિધાનસભા અને વોર્ડ મુજબ ધારાસભ્યો અને બોલાવવામાં આવ્યા અને તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. જેમાં એક ધારાસભ્ય ચાલુ મિટિંગમાં ચૂપકેથી બીજા દરવાજેથી નીકળી ગયા હતા. બીજા ઝોનની મીટીંગોમાં હાજર રહ્યા પોતાના ઝોનની મીટીંગ ચાલુ થઈ તો અડધી મીટીંગ છોડીને નીકળી ગયા હતા. જોકે ચર્ચા એવી જાગી છે કે વિધાનસભા અને વોર્ડની ચર્ચા ચાલી રહી હતી અને તે દરમિયાનમાં ધારાસભ્ય વચ્ચે બોલ્યા અને તેઓ નીકળી ગયા હતા. AMCએ બગીચા ખાતા માટે ઈજનેરની જાહેરાત આપી દીધીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક અધિકારીઓએ કરેલા અણઘડ આયોજનના કારણે કોર્પોરેશનને નીચું જોવાનું વારો આવે અથવા તો આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તાજેતરમાં જ ઇજનેર વિભાગની ભરતી બહાર પાડવામાં આવી છે જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખબારોમાં જાહેરાત આપવામાં આવી છે જેમાં ઇજનેર ખાતામાં ભરતી કરવાની હોય એની જગ્યાએ બગીચા ખાતામાં એન્જિનિયરોની ભરતી એવું લખીને જાહેરાત આપવામાં આવી હતી. અખબારમાં જાહેરાત છપાયા બાદ ધ્યાનમાં આવતા તાત્કાલિક બીજા દિવસે સુધારા સાથેની જાહેરાત આપવી પડી હતી. હવે ચર્ચા એવી જાગી છે કે જે આ જાહેરાત આપવાનું કામ કરે છે એવા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી એટલું નથી ખબર હોતી કે એન્જિનિયરો બગીચા ખાતામાં હોય કે ઇજનેર ખાતામાં જોયા વિના જ જાહેરાત આપી દે છે. પોલીસ સ્ટેશનમાં માનીતા PIના પોસ્ટિંગ માટે ધારાસભ્યોનું લોબિંગ અમદાવાદમાં ભાજપના ધારાસભ્યોના મતવિસ્તારમાં આવનારા પોલીસ સ્ટેશનમાં પીઆઇની ખાલી જગ્યાઓને ભરવા માટે થઈને કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોનું લોબીંગ થયું હોવાની ચર્ચા છે. ભાજપના ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં પોતાના માનીતા પોલીસવાળા આવે તેના માટે રજૂઆત કરતા હોય છે જેને લઈને પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારની અંદર ખાલી પડેલા પોલીસ સ્ટેશનમાં પીઆઇ માટે લોબીંગ કરવામાં આવ્યું છે. ભાજપના એક ધારાસભ્યના મતવિસ્તારમાં પોલીસ સ્ટેશન મલાઈદાર છે જેથી ત્યાં પણ પોતાના માનીતા પીઆઈને મુકવા માટે નામ આપ્યું છે જ્યારે એક પોલીસ સ્ટેશનમાં ક્યાં પીઆઇ મુકાવવા એની શોધખોળ કરવામાં આવી રહી છે.
જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ભારત મુલાકાત માટે રવિવારે સીધા અમદાવાદ પહોંચ્યા હતા. ITC નર્મદા હોટલમાં ફ્રેડરિક મેર્ઝનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાન્સેલર માટે હોટલ દ્વારા ગુજરાતની ઓળખ એવી અડાલજની વાવ, સીદી સૈયદની જાળી અને વડનગર તોરણ આકારની ચોકલેટ તૈયાર કરવામાં આવી હતી. ગુજરાતના મહેમાન બનેલા ફ્રેડરિક મેર્ઝે અંજીર રાજગરા પેંડા, તલ-જુવાર પાક, મલ્ટી બાજરી બ્રાઉની, બાજરી કુકીઝ સહિત ગુજરાત વાનગીઓની મજા માણી હતી. ફ્રેડરિક મેર્ઝ આજે સવારે 9 વાગ્યે PM મોદી સાથે ગાંધી આશ્રમ જશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિરમાં પીએમ મોદી સાથે બેઠક યોજાશે. ITC નર્મદા હોટેલમાં જર્મન ચાન્સેલરનું ભવ્ય સ્વાગત કરાયુંઅમદાવાદના મહેમાન બનેલા જર્મનીના ચાન્સેલ ફ્રેડરિક મેર્ઝ રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં ITC નર્મદા હોટલમાં ચાન્સેલરનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. હોટલ દ્વારા ગુજરાતની ઓળખ સમાન સીદી સૈયદની જાળી, અડાલજની વાવ અને વડનગર તોરણ આકારની ચોકલેટ તૈયાર કરી હતી. આ ઉપરાંત, ચાન્સેલરને પૌષ્ટિક બાજરી આધારિત સ્વાદિષ્ટ વાનગીઓની ખાસ ક્યુરેટેડ થાળી પણ પીરસવામાં આવી હતી, જેમાં અંજીર રાજગરા પેડા, તલ અને જુવાર પાક, કોળાના બીજ અને મલ્ટી-બાજરી બ્રાઉની, રાગી બાજરી કેળાના વોલનટ કેક, ખુબાની રમઝાના લાડુ અને પફ્ડ અમરાંથ બાજરી કૂકીઝનો સમાવેશ થાય છે. જર્મન ચાન્સેલર પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમની મુલાકાત કરશેગુજરાતના મહેમાન બનેલા જર્મનની ચાન્સેલર ફ્રેડરીક મેર્ઝ આજે સવારે 9 વાગ્યે પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમની મુલાકાતે જશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિરમાં પીએમ મોદી સાથે બેઠક યોજાશે. જેમાં જર્મની અને ભારત વચ્ચેની ભાગીદારીને લઈ મહત્વની ચર્ચા થઈ શકે છે. PMએ રવિવારે સોમનાથ, રાજકોટ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપી પીએમ મોદીએ સવારે સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં ભાગ લીધો. ત્યાર બાદ બપોરે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા અદાણી ગ્રુપે 5 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાંથી આવીને સાંજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મેટ્રો સ્ટેશન અને ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ક્રિકેટ જગતના કિંગ ગણાતા વિરાટ કોહલીના કરોડો ચાહકો છે. વિરાટ જેવું રમવું, તેના જેવું દેખાવું કે તેની સ્ટાઇલની કોપી કરવી એ ઘણા યુવાનોનું સપનું હોય છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સાથે એક એવા બાળકનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેને જોઇને ખુદ વિરાટ કોહલી પણ એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો હતો. આ ઘટના વડોદરાની છે. કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝિલેન્ડની મેચના આગલા દિવસે આ બાળક અને કોહલી સાથે જોવા મળ્યા હતા. બાળકની ખાસિયત એ છે કે તેનો ચહેરો, તેની આંખો અને તેનું સ્મિત, તેના દાંત, તેના હાવભાવ અસલ વિરાટ કોહલીના બાળપણને મળતા આવે છે. જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેના ગોળમટોળ ચહેરાવાળા ચીકુ લૂકના ફોટા ફેમસ થયા હતા. આ બાળકનો ફોટો અને કોહલીના નાનપણનો ફોટો બાજુ-બાજુમાં મૂકીને જુઓ તો સરખા જ લાગે. ફેન્સ આ બાળકની તુલના વિરાટના બાળપણના તે પ્રખ્યાત ફોટા સાથે કરી રહ્યા છે જેમાં વિરાટ હાથમાં બેટ લઇને ઊભો છે અથવા કંઇક ખાઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર લોકો આ બાળકને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા છે. ઘણાએ તો આ બાળકનું નામ મિની કોહલી પાડી દીધું છે. આ જુનિયર કોહલી કોણ છે? તે ક્યાં રહે છે? વિરાટે તેને મળીને શું કીધું? આ સવાલો તમને થતાં હશે. દિવ્ય ભાસ્કરે આ બાળકને શોધી કાઢ્યો છે અને તેની સાથે તેમજ તેના પિતા સાથે વાતચીત કરી છે. આ બાળકનું નામ ગર્વિત ઉત્તમ છે. તે વડોદરામાં નહીં પણ વડોદરાથી 1244 કિલોમીટર દૂર આવેલા હરિયાણાના પંચકુલામાં સેક્ટર-11માં પોતાના પરિવાર સાથે રહે છે. ગર્વિતના પિતાનું નામ સુરેન્દર સિંગ છે અને તે હિમાચલની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. ગર્વિતને એક્ટિંગ અને ક્રિકેટ ખૂબ પસંદ છે. ગર્વિતે બૂમ પાડી અને કોહલીનું ધ્યાન ગયુંવડોદરાના કોટંબી સ્ટેડિયમ પર જ્યારે કોહલી આવ્યો ત્યારે ગર્વિતે તેને જોઇને બૂમ પાડી હતી. જેના પછી શું થયું તે ગર્વિતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું. 'જ્યારે વિરાટ કોહલી આવી રહ્યાં હતા ત્યારે મેં તેમને જોરથી બૂમ પાડી હતી એટલે તેમણે મારી સામે જોયું હતું. તેમણે મને દૂરથી હાય કર્યું અને કહ્યું કે હું થોડીવારમાં આવું છું. થોડીવાર પછી તે આવ્યાં અને તેમણે મને બેટ પર ઓટોગ્રાફ આપ્યો હતો.' રોહિત શર્માએ કહ્યું- વિરાટ તારો ડુપ્લિકેટ બેઠો છે'વિરાટ કોહલી અને રોહિત શર્મા મારાથી દૂર ઊભા હતા અને મને જોયો ત્યારે તરત જ રોહિત શર્માએ વિરાટ કોહલીને કહ્યું, અરે વહાં દેખ વિરાટ તેરા ડુપ્લિકેટ બેઠા હૈં... આ સાંભળીને મને ખૂબ જ ખુશી થઇ હતી.' ક્રિકેટર અર્શદીપે ગર્વિત અને બીજા બાળકો સાથે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવતી વખતે અર્શદીપે કંઇક એવું કહ્યું કે બધા ખડખડાટ હસી પડ્યા હતા. અર્શદીપની કોમેન્ટ અને હાસ્યનું મોજું ફરી વળ્યુંગર્વિત કહે છે કે, જ્યારે અમે અર્શદીપને મળ્યાં ત્યારે તેણે અમારી સાથે એક વીડિયો બનાવ્યો હતો. અર્શદીપ ખૂબ હસતા હતા અને તેમના દાંત દેખાતા હતા. હું ત્યાં ફક્ત નોર્મલ સ્માઇલ કરીને ઊભો હતો એટલે અર્શદીપે મજાક કરતાં મને કહ્યું કે અરે બેટા તેરા દાંત કહાં હૈ? આવું કહીને અમને હસાવ્યાં હતા. એ પછી અમારી સાથે મસ્તી પણ કરી હતી. 'મને પહેલેથી જ એક્ટિંગ કરવી અને ક્રિકેટ રમવું ખૂબ પસંદ છે. એમાંય મને વિરાટ કોહલીની સ્ટાઇલ વધારે ગમે છે.' ગર્વિતે પોતાની કાલીઘેલી ભાષામાં કહ્યું કે, હવે લોકો મારા પપ્પાને કોલ કરીને કહે છે કે હજી સુધી અમે વિરાટ કોહલીને નથી મળી શક્યાં અને તમારા દીકરાએ આટલી નાની ઉંમરમાં કેવી રીતે આવું કરીને બતાવ્યું? હરિયાણામાં રહેતો 8 વર્ષનો ગર્વિત વડોદરા ક્યારે આવ્યો અને કયા કયા સ્ટાર ક્રિકેટર્સને મળ્યો તેના વિશે તેના પિતાએ વાત કરી. 8મી તારીખે વડોદરા આવ્યા હતાસુરેન્દર સિંગે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 4 જાન્યુઆરીએ અમારે ચંડીગઢથી એક કામ માટે હૈદરાબાદ જવાનું થયું હતું. એ પછી વડોદરામાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પહેલી વન ડે મેચ રમાવાની હતી એટલે અમે 8મી તારીખે વડોદરાના કોટંબી સ્ટેડિયમ આવ્યા હતા. સ્ટેડિયમમાં સુરેન્દર સિંગ અને ગર્વિતની મુલાકાત વિરાટ કોહલી, શુભમન ગિલ, અર્શદીપ, કે.એલ.રાહુલ અને રોહિત શર્મા સાથે થઇ હતી. વીડિયો વાઇરલ થતાં આખા દેશમાંથી ફોન આવ્યાઆ મુલાકાતને યાદ કરતા તેમણે કહ્યું કે, એ સમયે મારા દીકરા ગર્વિતે પણ વિરાટ કોહલીના નામ અને નંબરવાળી જ સેમ ટી શર્ટ અને ટ્રેક પહેર્યા હતા. કોહલી અને બાકીના ક્રિકેટર્સ સાથે તેની વાતચીત થઇ હતી. જેનો વીડિયો અને ફોટા અત્યારે ખૂબ જ વાઇરલ થઇ રહ્યાં છે. મને દેશભરમાંથી લોકોના ફોન કોલ્સ આવવાના શરૂ થઇ ગયા છે. બધા મને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. ગર્વિતને જોઇને ખુદ વિરાટ કોહલી પણ ચોંકી ગયો હતો. કોહલીનું શું રિએક્શન હતું?કોહલીના રિએક્શન વિશે વાત કરતાં ગર્વિતના પિતાએ કહ્યું કે, મારા દીકરાને જોઇને થોડા સમય માટે તો કોહલી પણ નવાઇ પામ્યા હતા. એ પછી તેણે હસીને ગર્વિતને કહ્યું હતું કે અરે તુ તો અબસે મેરા દોસ્ત હૈ, તુ તો બિલકુલ મેરે જેસા હી દીખ રહા હૈ. તુ તો યાર મેરી કાર્બન કોપી હી હૈ. આટલું કહીને વિરાટ કોહલીએ તેને ઓટોગ્રાફ પણ આપ્યો એ પછી તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો. પરિવારે એવું ક્યારેય નહોતું વિચાર્યું કે તેમના દિકરાને રાતો રાત આટલી બધી પ્રસિદ્ધિ મળી જશે. તેમના મનમાં એવું હતું કે તેમના દીકરાનો ચહેરો વિરાટ કોહલીના બાળપણ જેવો જ છે પણ તેમને સપનામાં પણ આવો ખ્યાલ નહોતો કે તેમનો દીકરો રાતોરાત આટલો ફેમસ થઇ જશે. કોહલની જેમ ગર્વિત પણ આગળ વધે તેવી પિતાની ઇચ્છાસુરેન્દર સિંગે કહ્યું કે, હાલમાં મારા દીકરાના નામની બૂમ છે. ઇન્ટરનેટ પર તે બધી જ જગ્યાએ છવાઇ ગયો છે. હું તો ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું કે તેને હજી વધારે આગળ વધારવામાં મદદ કરે. હાલમાં તે વિરાટ કોહલીની કોપી કરી રહ્યો છે પણ તેની પ્રસિદ્ધિ વિરાટ કોહલી જેવી થાય એવી જ ઇચ્છા છે. 'મારા દીકરાને જોઇને હવે લોકો છોટે વિરાટ કોહલી, લિટલ ચીકુ કહીને બોલાવે છે. આનાથી અમે જ નહીં અમારા પરિવારના લોકોને પણ ખૂબ જ ખુશી મળી રહી છે.' પિતાનું અધુરૂં સપનુંસુરેન્દર સિંગ સચિન તેંડુલકરના ફેન છે. તેમનું સપનું પણ ક્રિકેટર બનવાનું હતું પણ સંજોગવશાત તે અધુરૂં રહી ગયું. પોતાનું અધુરૂં સપનું બન્ને બાળકો પુરૂં કરી શકે તે માટે તેમણે બન્ને દીકરાઓને ક્રિકેટ કોંચિગમાં મુક્યાં છે. વાઇરલ લિટલ વિરાટ કોહલી ગર્વિત 5 વર્ષનો હતો ત્યારથી જ તે ક્રિકેટ એકેડેમીમાં છે. આજે તેની ઉંમર 8 વર્ષની થઇ છે એટલે તે છેલ્લા ત્રણેક વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે. તેમણે કહ્યું કે, હું જ્યારે નાનો હતો ત્યારે મારું સપનું ક્રિકેટર બનવાનું હતું. હું ત્યારે ખૂબ જ સારી રીતે ક્રિકેટ રમતો હતો પણ ત્યારે કંઇ થઇ શક્યું નહીં અને એ સપનું અધુરું રહી ગયું. ક્રિકેટ એકેડેમીમાં ગર્વિતની ઓળખ કોહલી જ છેવડોદરા આવ્યા ત્યાર પછી જ લોકો ગર્વિતને લિટલ વિરાટ કોહલી તરીકે ઓળખતાં થયાં કે એ પહેલાં પણ ક્યારેય કોઇએ કહ્યું હતું તે અંગે પૂછતાં સુરેન્દર સિંગે કહ્યું, તેને લિટલ વિરાટ કોહલી કહેવાનો સિલસિલો તો 2-3 વર્ષ પહેલાંથી શરૂ થયો હતો પણ અમે માત્ર ઘરના લોકો જ એવું કહેતા હતા. ગર્વિત જે એકેડેમીમાં જાય છે ત્યાં પણ તેને લોકો કોહલી કોહલી કહીને જ બોલાવે છે. ગર્વિત પોતે પણ કોહલીનો ફેન છે. તેના પિતા કહે છે કે, મારો દીકરો ગર્વિત કિંગ કોહલીને પોતાનો ભગવાન માને છે. એ નાનો હતો ત્યારે પણ અમે તેને કોહલી વિશે કંઇ કહ્યું નથી પણ તેને જેમ જેમ સમજણ આવવા લાગી તેમ એ કોહલીનો બિગ ફેન બની ગયો છે. તે કોહલીને જોઇ જોઇને તેના જેવી જ રીતે ચાલવાથી લઇને તેની સ્ટાઇલમાં રમવાનો પ્રયત્ન કરે છે. ગર્વિત ક્રિકેટ કિટ સાથે લઇને સૂઇ જાય છેગર્વિત જ્યારે ક્રિકેટ એકેડેમીમાંથી પાછો આવે છે ત્યારે તેની ક્રિકેટની કિટને પરિવારના લોકો એક ઠેકાણે મુકી દે છે પણ તે ત્યાંથી ઉઠાવીને તેના બેડમાં લઇ આવે છે અને તે જે જ્યાં સૂવે છે ત્યાં પોતાની પાસે રાખે છે. આમ તે પોતાની ચારેય બાજુ ક્રિકેટની કિટ રાખે છે આટલી નાની ઉંમરમાં પણ તેને ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ છે. વડોદરામાં લોકોએ ગર્વિત સાથે ખૂબ સેલ્ફી લીધી હતી. આ વાતને યાદ કરતા તેના પિતાએ કહ્યું કે, જ્યારે અમે બહાર માર્કેટમાં જઇએ ત્યારે લોકો તેની સાથે વાતચીત કરે છે અને પૂછે છે. વડોદરામાં તો લોકોએ તેની સાથે ખૂબ જ સેલ્ફી લીધી છે, લોકો તેને જુનિયર વિરાટના નામથી બોલવતાં હતા પણ અહીંયા હજી એટલા બધા લોકોને ખબર નથી. લોકો ગર્વિતને ફક્ત કોહલીના નામથી જ ઓળખે છે તેનું નામ ખબર નથી હોતું.
ઉત્તરાયણનું પર્વ નજીક આવતા જ પતંગરસિયાઓના મનમાં એક જ સવાલ હોય છે કે, પતંગ ચગાવવા માટે પવન કેવો રહેશે?. આ વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પતંગરસિયાઓએ ચિંતા કરવાની જરુર નથી. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે. જાણકારોના મતે સામાન્ય પતંગ ચગાવવા માટે પ્રતિકલાક 5 કિમીની ઝડપે ફૂંકાતા પવનની જરુરિયાત રહે છે. ભાસ્કરે હવામાન નિષ્ણાત અંકિત પટેલ સાથે વાત કરી હતી અને ઉત્તરાયણના પર્વ પર રાજ્યના મહત્વના શહેરોમાં સવારથી સાંજ સુધી પવનની ગતિ કેવી રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 'આ વર્ષે પતંગબાજાનો પવન નિરાશ નહીં કરે' ઉત્તરાયણના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગરસિકો માટે આનંદના સમાચાર એ છ કે, આ વર્ષે પતંગ ચગાવવા માટે વધુ ઠુમકા લગાવવા નહીં પડે. રાજ્યમાં પવનની ગતિ સામાન્ય અને પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા મુજબ સામાન્ય પતંગ ચગાવવા માટે પવનની ગતિ પ્રતિકલાક 5 કિમીની હોવી જરુરી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે મોટાભાગના શહેરોમાં પવનની ગતિ 5 કિમી કે તેનાથી વધુ રહેવાની શક્યતા હોય પતંગબાજોએ પતંગ ચગાવવામાં તકલીફ નહીં પડે. અમદાવાદમાં સવારથી સાંજ સુધી 7કિમીથી 10 કિમીની ગતિ રહેશેઅમદાવાદ શહેરમાં ઉત્તરાયણના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી પવનની ગતિ 7 કિમીથી લઈ 10 કિમીની રહેશે. એટલે કે દિવસ દરમિયાન સામાન્ય પતંગ ચગાવવા માટે પતંગરસિકોએ નિરાશ થવું નહીં પડે. સુરતમાં સવારથી સાંજ સુધી પ્રતિ કલાક 11 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશેઆ ઉત્તરાયણે સુરતીઓને પવનનો પૂરતો સાથ મળશે. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાક 11 કિમી થી લઈ 15 કિમી સુધી રહેવાની શક્યતા છે. એટલે કે, દિવસ દરમિયાન પતંગરસિકો ક્યારેય પણ નિરાશ થાય તેવી સ્થિતિ નથી. વડોદરામાં દિવસ દરમિયાન 5 થી 11 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહીવડોદરા શહેરમાં સવારના સમયે પવનની ગતિ થોડી ધીમી રહેશે. પરંતુ, 9 વાગ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ પ્રતિ કલાક 8 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે સામાન્ય સાઈઝની પતંગ ચગાવનારા પતંગબાજાનો મુશ્કેલી પડશે નહીં. રાજકોટમાં પ્રતિ કલાક 7 થી 14 કિમીની ઝડપ રહેશેરાજકોટ શહેરની વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે પતંગરસિકો આસાનીથી પતંગ ચગાવી શકે એટલી પવનની ગતિ રહેશે. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી પવનની ગતિ પ્રતિ કલાક 10 કિમી કે તેનાથી વધુ રહેવાની શક્યતા છે. જૂનાગઢમાં સવારથી સાંજ સુધી પવનનો પૂરતો સાથે મળશેજૂનાગઢ શહેરમાં સવારથી જ પવનની ગતિ પ્રતિ કલાક 9 કિમી આસપાસ રહેશે. જેમાં બપોર થતા વધારો થશે. સાંજ સુધી પતંગ ચગાવવા માટે વાતાવરણ અનુકૂળ રહેવાની શક્યતા છે. ભાવનગરમાં પ્રતિ કલાક 8 કિમીથી લઈ 15 કિમીની ઝડપે પવન ફૂંકાશેભાવનગરમાં ઉત્તરાયણના દિવસે દિવસભર પતંગ ચગાવવા માટે અનુકૂળ પવન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ સવારથી જ શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાક 11 કિમી આસપાસ રહેશે. સામાન્ય પતંગ માટે પ્રતિ કલાક 5 કિમી અને ફેન્સી પતંગ માટે પ્રતિ કલાક 10 કિમીની જરુરિયાતઅંકિત પટેલે જણાવ્યું હતું કે, આપણ જે સામાન્ય સાઈઝની પતંગ ચગાવીએ છીએ તે 5 કિમીની ઝડપે ફૂંકાતા પવનમાં આસાનીથી ચગી જાય છે. પરંતુ, જે ફેન્સી અને મોટી પતંગો હોય છે તે ચગાવવા માટે 10 કિમી કે તેનાથી વધુ ગતિના પવનની જરુરિયાત રહે છે. ચીનથી આવેલો પતંગ વિશ્વભરમાં છવાઈ ગયો પતંગની શોધ ચીનના શાનડોંગમાં થઈ હતી. શરૂઆતમાં કંઇક એવી રીતે થઈ હતી કે ખેતરમાં એક ચીનનો ખેડૂત પોતાની ટોપીને હવામાં ઉડતી બચાવવા તેને એક દોરડા સાથે બાંધીને રાખતો હતો. જ્યારે પવન આવતો તો ઉડતી ટોપીનું દૃશ્ય ખેડૂત માટે રસપ્રદ હતું. આ સાથે જ ચીનમાં પતંગની શરૂઆત થઈ.કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, 5મી સદીમાં ચીનના ફિલસૂફો મોજી અને લુ-બાને વાંસના કાગળની મદદથી પતંગની શોધ કરી હતી અને અહીંથી પતંગ ચગાવવાની શરૂઆત થઈ હતી. પતંગનો ઉપયોગ ક્યારેક સંદેશ મોકલવા માટે પણ થતો કાગળના પતંગો 549 ઇ.સ.થી લહેરાતા હતા કારણ કે, તે સમયે પતંગોનો સંદેશ મોકલવા માટે ઉપયોગ થતો હતો. મોટાભાગના લોકોનું માનવું છે કે, ચીની મુસાફરો હિનયાન અને હ્વેન સાંગ પતંગને ભારત લાવ્યા હતા. પતંગનો ઉપયોગ સૌપ્રથમ વાતાવરણમાં હવાના તાપમાન, દબાણ, ભેજ, પવન અને દિશાનો અભ્યાસ કરવા માટે કરવામાં આવ્યો હતો. વર્ષ 1898થી 1933 સુધી હવામાનશાસ્ત્રના બ્યુરોએ હવામાનના અભ્યાસ માટે પતંગ કેન્દ્ર બનાવ્યું હતું. અહીંથી હવામાનની આગાહી સૂચનોથી સજ્જ બોક્સ પતંગો ઉડાવીને હવામાન કેવું છે તે શોધવામાં આવતું હતું. ચીનથી લઇને સાઉથ આફ્રિકા સુધી પતંગ ઉડાવવાનો ઉત્સાહ
એક ગામ જે સુવિધામાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોને પણ ઝાંખા પાડી દે, જ્યાં હજારો કરોડ રૂપિયા તો બેન્કની ફિક્સ ડિપોઝીટમાં પડ્યા રહે છે, છતાં અહીં ન તો કોઇ પોલીસ સ્ટેશન છે ન પોલીસ ચોકી, એ ગામ જેનું પોતાનું એક ગીત છે, જ્યાં શેરીએ શેરીએ ભવ્ય બંગલા આવેલા છે. તમે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, યુરોપ ગમે ત્યાં જાઓ આ ગામનો એક વ્યક્તિ તો મળશે જ કારણ કે ગામના દરેક ઘરમાંથી કોઇને કોઇ વિદેશમાં સેટલ છે. આ ગામ એટલે ચરોતરનું પેરિસ તરીકે જાણીતું ધર્મજ. આ ગામના લોકો 12 જાન્યુઆરીને ધર્મજ ડે તરીકે ઉજવે છે. ગામની ચર્ચા ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વ ફલક પર થાય છે. દિવ્ય ભાસ્કરની ટીમે ધર્મજની મુલાકાત લઇ તેનો વિદેશ સાથેનો સંબંધ, ત્યાંની રહેણીકરણી અને પારકા પ્રદેશમાં સફળતાના ઝંડા ફરકાવનાર લોકો સાથે વાત કરી હતી. અમને ઘણા એવા લોકો મળ્યાં જે ધર્મજ ડેના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીં આવ્યા છે. ધર્મજ માત્ર તેની ધનાઢ્યતાના કારણે જ જાણીતું નથી પણ તેના ઇતિહાસમાં સંતો, શૌર્ય, શહીદો અને શૂરવીરોની ગાથા વણાયેલી છે. ગામની વસતિ તો 10 હજારથી વધુ છે પરંતુ હાલ માત્ર 1100 જેટલા જ લોકો રહે છે કારણ કે મોટાભાગના લોકો વિદેશમાં વસે છે. જેથી વર્ષે એક વખત લોકો અહીં આવી શકે. એકબીજાના મળી શકે, નવી પેઢી પોતાની ભૂમિ, સંસ્કૃતિ ને પોતાના ગામ સાથે જોડાયેલી રહે તે માટે ગામના વડીલોએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે જ ધર્મજ ડે ઉજવવાની શરૂઆત કરી હતી. આજના દિવસે અહીં સાંસ્કૃતિક સહિતના વિવિધ કાર્યક્રમ તો થાય જ છે સાથે જ ધર્મજ રત્ન અને ધર્મજ ગૌરવ જેવા એવોર્ડ પણ અપાય છે. ગામની બેન્કોમાં હજારો કરોડની ફિક્સ ડિપોઝિટ સામાન્ય રીતે તાલુકા મથકોમાં જેટલી બેંકો હોય તેટલી તો આ એકલા ધર્મજ ગામમાં જ છે. હાલ અહીં 11 જેટલી નેશનલાઇઝ અને કો-ઓપરેટિવ બેન્કો છે. જેમાં ગામની પોતાની 'ધર્મજ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક' મુખ્ય છે. વિદેશમાં વસતા હજારો ધર્મજના લોકો પોતાની તમામ બચત અને કમાણી વતનની બેંકોમાં ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવે છે. આ ડિપોઝિટનો આંકડો હજારો કરોડોમાં છે. 8 દાયકા જૂનું ગિરઘર ભવનઅહીં દસ ઘરા નામની મોટી હવેલી આવેલી છે. જે ગિરધર ભવન તરીકે ઓળખાય છે. અહીં કુલ દસ ઘર છે, એક તરફ 6 ઘર, વચ્ચે દરવાજો અને બીજી બાજુ 4 ઘર. જેથી આ ઘરને દસ ઘરા કહેવાય છે. આ મકાનો બન્યાને 85 વર્ષ થયા છે પણ તેનું બાંધકામ એટલું સોલિડ છે કે ભૂકંપમાં પણ એક તિરાડ પડી નથી. એના પિલરને બાથ ભીડીને પણ પકડી ના શકાય એટલા મજબૂત છે. તેમાં પ્યોર સાગનું લાકડું, માટી અને ચૂનાનો ઉપયોગ થયો છે. ગિરધરભાઇ અને તેમના ભાઇઓને રહેવા માટે આ મકાન બનાવ્યા હતા. અત્યારે દસ ઘરા પરિવારની 3 પેઢીઓ વિદેશમાં છે. અહીં કોઈ રહેતું નથી. અમુક ઘર બંધ છે અને કેટલાંક ભાડૂઆતને આપ્યા છે. દસ ઘરા ફેમિલી એટલે ડોનેશન વાળું ફેમિલી કહેવાય છે. આ પરિવારે ગંગાબા ત્રિભોવનદાસ બાલમંદિર બનાવેલું છે. ‘મારી લંડનમાં 20થી વધુ પ્રોપર્ટી છે અને 7 મોટા કેમિસ્ટ સ્ટોર્સ’94 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પટેલને ગામના લોકો પ્રેમથી ભામાશા કહે છે. 1955માં લગ્ન કરીને તેઓ કેન્યા ગયા હતા પછી 1968માં લંડન શિફ્ટ થઇ ગયા. ત્યારે મારા બે દીકરાઓ 7 અને 8 વર્ષના હતા. ત્યાંની સરકારે બધા પૈસા આપ્યા હતા. એટલે બંને દીકરાઓને સારુ એજ્યુકેશન મળ્યું. એક દીકરો કેમિસ્ટ બન્યો અને બીજો ડોક્ટર થયો અને હાલ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી છે. કેન્યાથી 3-4 હજાર રૂપિયા લઇને લંડન ગયેલા હસમુખભાઇના પરિવાર પાસે આજે લંડનમાં 20થી વધુ પ્રોપર્ટી છે અને 7 મોટા કેમિસ્ટ સ્ટોર્સ છે જ્યાં લોકોને રોજગારી આપે છે. છતાં ગામ પ્રત્યેની લાગણી તેમને દર વર્ષે 6 મહિના માટે ધર્મજ ખેંચી લાવે છે. તેમણે ગામમાં 20 લાખ ખર્ચીને અત્યાધુનિક સ્મશાન બનાવ્યું છે અને દર વર્ષે હજારેક સ્કૂલના બાળકોને ભોજન કરાવે છે. ધર્મજ ડેમાં ભાગ લેવા આવેલા 86 વર્ષીય ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાની સ્મૃતિઓ વાગોળતા કહે છે મારો જન્મ 1939માં દક્ષિણ આફ્રિકામાં થયો હતો. મારા માતા-પિતા યુગાન્ડામાં રહેતા હતા. પરંતુ સારા શિક્ષણ માટે હું 18 વર્ષની ઉંમર સુધી ધર્મજમાં જ રહ્યો હતો. ત્યારબાદ હું ફરી યુગાન્ડા ગયો જ્યાં અમારો હાર્ડવેરનો ખૂબ મોટો બિઝનેસ હતો. ‘લંડનની સરખામણીએ હવે ગુજરાતમાં વધુ સુવિધાઓ છે’ભૂપેન્દ્રભાઈ આગળ જણાવે છે કે 1972માં ઇદી અમીને જ્યારે ભારતીયોને કાઢી મૂક્યા, ત્યારે અમારે રાતોરાત બધું જ ત્યાં છોડીને ખાલી હાથે લંડન જવું પડ્યું. લંડનમાં અમે ફરી શૂન્યમાંથી સર્જન કર્યું. અત્યારે મારા દીકરાની ઇટલીમાં ફેક્ટરી છે. તે સોફા માટે લેધર બનાવે છે. હાલમાં અમદાવાદમાં રહેતા અને ધર્મજગામના વતની સંજયભાઇ પટેલ કહે છે કે હાલ ગામમાં રાષ્ટ્રીયકૃત બેન્ક અને કોઓપરેટિવ બેન્ક કાર્યરત છે. દરેક બેન્ક પાસે કરોડો રૂપિયાની થાપણ છે. પરંતુ નવાઇની વાત એ છે કે, આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા આ ગામમાં એક પણ પોલીસ ચોકી નથી. ‘મેં લંડનની બધી સંપત્તિ ભત્રીજાને ગિફ્ટ કરી દીધી’93 વર્ષના જેરામભાઈ નરસિંહભાઈ પટેલ 23 વર્ષની ઉંમરે લંડન ગયા હતા. તેઓ લંડનની પ્રખ્યાત HSBC બેંકમાં ઉચ્ચ હોદ્દા પર હતા. 1989માં નિવૃત્ત થયા બાદ તેઓ 2018માં કાયમી માટે ધર્મજ પરત ફર્યા છે. જેરામભાઈએ પોતાની સંપત્તિ ભત્રીજાને ગિફ્ટ કરી દીધી છે અને અત્યારે ગામમાં શાંતિથી નિવૃત્ત જીવન જીવે છે. ધર્મજ ગામનો વિકાસ તેના વડવાઓના લોહી-પરસેવાની કમાણી છે. રાજુ ધર્મજ તરીકે જાણીતા ગામના અગ્રણી રાજેશ પટેલ ગામના ઇતિહાસ વિશે જણાવે છે કે, ગામનો ઇતિહાસ અંદાજે 850 વર્ષ જૂનો છે. સરદાર ચોકની જૂની ખડકીના નરસિંહભાઇ જેરગામથી આવીને અહીં વસ્યા હતા. ત્યારબાદ પોણા ચારસો વર્ષ પહેલાં રંગા પટેલ સોજિત્રા પાસેના વિરોલ ગામથી અહીં આવ્યા હતા. આજે ગામમાં અઢારેય વર્ણના લોકો હળીમળીને રહે છે અને આ એકતા જ ગામની પ્રગતિનું કારણ છે. તેમણે કહ્યું કે, ધર્મજ એટલે ચરોતરનું પેરિસ આને લઇ મને થોડો વિરોધ છે. કેમ કે ધર્મજ એટલે ધર્મજ આપણે કોઇની કલ્પના કેમ કરીએ. હા, ધર્મજનો ટાવર કદાચ એફિલ ટાવરથી નાનો હશે. પરંતુ જો હું એફિલ ટાવર પાસે ઊભો રહું તો કોઇ ફિલિંગ ન આવે પણ ધર્મજ ટાવરનો ખાલી ફોટો જોઇ લઉં એટલે જીવનભરની યાદો મારી સામે આવી જાય. ‘બધા લંડન, અમેરિકા, કેનેડા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં રહે છે’‘અમારા ગામની વસતિ 10,500ની છે. ધીરે ધીરે માઇગ્રેશન થયું અને એટલે ધર્મજના લોકો વધારે પડતાં પરદેશમાં છે. લંડનમાં 1700 પરિવાર, અમેરિકામાં 1000થી 1200, કેનેડામાં 500, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 150થી 300 ફેમિલી છે. લંડન વધારે ઓર્ગેનાઇઝ છે કેમ કે ત્રણ-ચાર પેઢીથી ત્યાં છે. ધર્મજ સોસાયટી ઓફ લંડન 1968થી રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કામ કરે છે. 1300 ફેમિલી તેમના મેમ્બર છે.’ '2018માં 50 વર્ષની ઉજવણી થઇ ત્યારે હું ગેસ્ટ તરીકે ત્યાં ગયો હતો. અમેરિકા, કેનેડામાં પણ આ જ રીતે કામ કરે છે. જો કે ભલે બહાર રહે પણ ડેડિકેશન એટલું જ રહ્યું છે. જે લોકો અહીંયા રહ્યાં છે તે દરેક સમાજની ચિંતા કરે છે. સમાજના મોટા ભાઇ થઇને રહે છે.' રાજેશ પટેલ કહે છે કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે તે સમયે લોકો પાસે માત્ર ગુજરાતી ભાષાનું જ્ઞાન હતું. છતાં તેઓ સઢવાળા વહાણોમાં બેસીને મુંબઈથી આફ્રિકા પહોંચ્યા. ત્યાં જઈને તેમણે મજૂરી કરી, કાપડ અને હાર્ડવેરના વ્યવસાય ઊભા કર્યા. 1916માં ઘણા લોકો આફ્રિકાથી પાછા પણ આવ્યા હતા, પણ 1970ના દાયકા બાદ લંડન, અમેરિકા અને હવે કેનેડા-ઓસ્ટ્રેલિયા જવાનો ટ્રેન્ડ વધ્યો છે. 1942માં જ ધર્મજને નલ સે જલ મળવા લાગ્યું'આજે નલ સે જલની યોજના ચાલે છે, પણ ધર્મજે 1942માં જ આ સિદ્ધિ મેળવી લીધી હતી. ત્યારે ગામમાં વીજળી નહોતી, છતાં રસ્ટર્ન કંપનીના મોટા એન્જિનો ચલાવીને ઓવરહેડ ટેન્કમાં પાણી ચડાવી આખા ગામમાં વિતરણ કરવામાં આવતું હતું. રસ્ટર્ન કંપનીના ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુટર શિવાભાઇ પટેલ ધર્મજના હતા. તેમના બંગલે મુંબઇના ગવર્નર પણ આવતા હતા.1954માં ગામમાં વીજળી આવી અને 1959માં ટેકનિકલ સ્કૂલ શરૂ થઇ હતી. ગામમાં 1875થી શિક્ષણ અને 1890થી કન્યા કેળવણીની વ્યવસ્થા થઇ, 1894માં અંગ્રેજી સ્કૂલો અને 1905માં માધ્યમિક શિક્ષણ શરૂ થઇ ગયું હતું. જે તે સમયે ક્રાંતિકારી પગલું હતું.' ગૌચરમાંથી વર્ષે અંદાજે 45થી 50 લાખની આવક 'ગામની ધર્મજ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક માત્ર એક બેંક નથી, પણ ગામના વિકાસનું એન્જિન છે. કોઇ પણ જ્ઞાતિનો યુવાન હોય, જો તેને વિદેશ ભણવા જવું હોય તો આ બેંક તેને ખૂબ જ સસ્તા દરે લોન આપીને તેના સપના પૂરા કરે છે. અને વાત કરીએ ગૌચર વિકાસની તો 1971માં જ્યારે ચીમનભાઇ અને ચંદ્રકાંતભાઇ સરપંચ હતા, ત્યારે તેમણે 35 વર્ષ સુધી સેવા આપીને ગૌચરનો કાયાકલ્પ કર્યો. 10-15 ફૂટના ખાડા પૂરીને ત્યાં ખેતીલાયક જમીન બનાવી. આજે ગામની ગટરના પાણીને ફિલ્ટર કરીને ગૌચરમાં વાળવામાં આવે છે, જેનાથી વિપુલ ઘાસચારો ઊગે છે. પશુપાલકોને માત્ર 25 રૂપિયામાં 20 કિલો ઘાસ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ગૌચરમાં 16000થી વધુ વૃક્ષો છે.' ‘ગામની શિસ્ત એટલી ચુસ્ત છે કે ઝાડ પર કેરી લાગી હોય તો પણ કોઈ તેને સ્પર્શતું નથી. હરાજીમાં જેણે ફળ રાખ્યા હોય તે જ તેનું વેચાણ કરે છે. પંચાયત પોતાની જ આવકમાંથી ગામમાં લાઇટ, સફાઇ અને રસ્તાઓની સુવિધા પૂરી પાડે છે. 25 એકરમાં ફેલાયેલા રિક્રીએશન પાર્કમાં સ્વિમિંગ પુલ, વોટર રાઇડ અને પાર્ટી પ્લોટ છે. જે ગ્રામજનોને રાહત દરે આપવામાં આવે છે. આમ હાલ ગૌચરમાંથી વર્ષે અંદાજે 45થી 50 લાખની આવક થાય છે.’ ધર્મજમાં ઘરે ઘરે આરઓનું પાણી બોટલથી પહોંચાડાય છે. આ અંગે રાજુ પટેલે કહ્યું કે, ધર્મજ સોસાયટી ઓફ લંડને અમને એક હોસ્પિટલ બનાવી આપી છે. મોટા ભાગના દર્દીઓનો રોગ પાણીજન્ય હોય છે. પાણી શુદ્ધ હોય તો રોગ ઓછાં થાય. એટલે તેમણે આર.ઓ. પ્લાન્ટ કરાવી આપ્યો. રાહત દરે ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે. ઘરે બેઠાં આરઓવાળું પાણી બોટલમાં પહોંચાડવામાં આવે છે. એકદમ ઓછો ચાર્જ લઇએ છીએ.' ‘વંશાવલીમાં દીકરીઓના નામનો પણ સમાવેશ કર્યો’'12 જાન્યુઆરી 2007ના રોજ 'ધર્મજ ડે' ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. અમે ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં ટેગલાઈન બનાવી છે. સેલિબ્રેશન ફોર જનરેશન નેક્સ્ટ એટલે કે આવનારી પેઢી માટેનો ઉત્સવ. આ દિવસે વિદેશમાં વસતી નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરાય છે. અમે દીકરીઓને પણ ખાસ નિમંત્રણ આપીએ છીએ.' ધર્મજ ગામનું પોતાનું એક અલગ ગીત છે. વિશ્વના કોઇપણ ખૂણે ધર્મજનો પ્રસંગ હોય ત્યારે આ ગીત રાષ્ટ્રગીતની જેમ ગવાય છે.રાજેશ પટેલ કહે છે કે , ગામનું પોતાનું એક 'ધર્મજ ગીત' છે. આ ધર્મજ, મારું ધર્મજ ગામ, ધન્ય ધન્ય છે ધર્મજ ગામ.. ગીત સાંભળીને દરેક ધર્મજવાસીનું હૈયું ગજગજ ફૂલે છે. આ પ્રસંગે 500 ફોટોગ્રાફ્સ ધરાવતી એક 'કોફી ટેબલ બૂક' પણ પ્રકાશિત કરવામાં આવી છે. 'ધર્મજમાં દર વર્ષે 'ધર્મજ રત્ન' અને 'ધર્મજ ગૌરવ' જેવા એવોર્ડ અપાય છે. આ એવોર્ડ માટે કોની પસંદગી થાય છે તે અંગે રાજુ પટેલે કહ્યું કે, ધર્મજમાં દર વર્ષે અમે એવા રત્નોને શોધીએ છીએ જેમણે ગામનું નામ રોશન કર્યું હોય. જો તેઓ હયાત હોય તો તેમને રૂબરૂ બોલાવીને અને જો દેવલોક પામ્યા હોય તો તેમના પરિવારને બોલાવીને સન્માનિત કરીએ છીએ. જેમ કે ડૉ. એચ.એમ. પટેલ, જે અમારા ગામની બીજી ઓળખ છે અને દેશના નાણાંમંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય જિમ્નેસ્ટિકમાં અર્જુન એવોર્ડ વિજેતા કૃપાલી પટેલ, ક્રિકેટમાં દિલીપ ટ્રોફી રમનાર જયપ્રકાશ પટેલ, સાહિત્ય જગતના ધીરુબેન પટેલ અને લંડનમાં ચિત્રકળા ક્ષેત્રે નામના મેળવનાર મીનાબેન પટેલ જેવા અનેક મહાનુભાવો છે.' તેઓ આગળ જણાવે છે કે દર વર્ષે અમે 'ધર્મજ રત્ન' અને 'ધર્મજ ગૌરવ' જેવા એવોર્ડ આપીને પ્રતિભાઓનું સન્માન કરીએ છીએ. એવોર્ડમાં અમે ધર્મજના ઐતિહાસિક ટાવરની પ્રતિકૃતિ આપીએ છીએ, જે ડ્રોઇંગ રૂમમાં હોય તો પણ ગામના પાદરમાં બેઠા હોવાનો અહેસાસ કરાવે છે. યુવાનો માટે અમે બે નવા એવોર્ડ શરૂ કર્યા છે, જેમાં 'ધર્મજ જ્યોત' (યુવાનો માટે) અને 'ધર્મજ જ્યોતિ' (યુવતીઓ માટે) કેટેગરી ઉમેરી છે. અમે તેમને એવોર્ડ માટે રૂબરૂ બોલાવીએ છીએ જેથી તેઓ ગામમાં આવે. 'આ વખતે પહેલી વખત એક પ્રયોગ તરીકે અમે 'ઇન્સ્ટિટ્યૂશનલ એવોર્ડ' આપવાના છીએ. 'પટેલ પ્રિન્ટિંગ પ્રેસ પ્રા.લી.' 1963માં ચાલુ થયું હતું, જે આજે ત્રીજી પેઢીએ ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે. દર વર્ષે પ્રિન્ટિંગ ટેકનોલોજીના ઘણા નેશનલ એવોર્ડ તેમને મળે છે.' 'મને જાણીને આશ્ચર્ય થયું હતું કે, અંબાણી અને અદાણી પરિવારને ત્યાં જે લગ્ન પ્રસંગો થયા, તેની ઇમિટેશન કાર્ડસ ત્યાં જ છપાયા હતા. માઇક્રોસોફ્ટની ડાયરી પણ ત્યાં જ છપાઈ હતી. આ વખતે આવો એક જ એવોર્ડ આપવાનો છે. અમે નક્કી કર્યું છે કે જો યોગ્ય ઉમેદવાર ના મળે તો એવોર્ડ કોઈને નહીં આપવાનો, પણ એવોર્ડની ગરિમા જળવાઈ રહેવી જોઇએ.' 'ધર્મજ માટે એમ કહેવાય છે કે તે 'સંતો, શહીદો અને શૂરવીરોની ભૂમિ' છે. શૂરવીરતાની બાબતમાં આસપાસમાં બધાને ખબર છે કે ક્યાંય પણ કોઈ કુદરતી આફત આવે તો ધર્મજના લોકો પહેલા પહોંચી જાય છે. શહીદોની વાત કરીએ તો 18 ઓગસ્ટ, 1942ના રોજ અડાસ મુકામે પોલીસે ગોળીબાર કર્યો હતો ત્યારે અમારા ગામના રમણભાઇ શહીદ થયા હતા. 9મી ઓગસ્ટે ગાંધીજીએ 'ભારત છોડો' નો નારો આપ્યો ત્યારે તેનું બધું સાહિત્ય છાપીને રમણકાકા અને બીજા યુવાનો વડોદરાથી આણંદ આવ્યા હતા.' 'તેઓ આણંદમાં સાહિત્ય વેચતા હતા અને પોલીસને ખબર પડી ગઈ, એટલે કોઈએ તેમને કહ્યું કે પોલીસ તમારી પાછળ પડી છે. તેમણે નક્કી કર્યું કે ખેતરોમાં થઈને અડાસ જઇશું અને ત્યાંથી ટ્રેનમાં બેસીને પાછા વડોદરા જતા રહીશું. પરંતુ બ્રિટિશ પોલીસને ખબર પડી જતાં તેઓ અડાસ રેલવે સ્ટેશને પહોંચી ગયા અને હથિયાર વગરના છોકરાઓને લાઈનમાં ઊભા રાખીને ગોળીબાર કર્યો. જેમાં પાંચ યુવાનો મૃત્યુ પામ્યા હતા. ત્યાં પણ તેમનું સ્મારક છે અને તેમની ડેડબોડી ગામમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તેથી ગામના 'વન વ્યાયામ મંદિર'માં આજે પણ તેમની ખાંભી છે. રમણભાઈની ખાંભી પર દર 18 ઓગસ્ટે સવારે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરીએ છીએ.' ગામ સાથે જોડાયેલા સંતોની વાત કરતાં તેમણે કહ્યું, સંતોની વાત કરીએ તો અમારે ત્યાંથી વિવિધ સંપ્રદાયો જેવા કે વડતાલ, બી.એ.પી.એસ. (BAPS), અનુપમ મિશન, હરિધામ સોખડા અને જૈન સમાજમાં થઈને વિવિધ સમયે 19 સંતો થયા છે અને 'ગુણાતીત જ્યોત'માં બે બહેનો સાધ્વી થયા છે. આમ, ધર્મજમાં 'સંતો, શહીદો અને શૂરવીરોની ભૂમિ' હોવાનું સાર્થક થાય છે. 'ગામ પાસેથી હાઇવે નીકળ્યો એટલે રોડના કામ માટે અમે આખું જલારામ મંદિર તોડીને ખસી ગયા અને ત્યાં મોટું મંદિર બનાવ્યું. જેને આજે 10 વર્ષ થયા. તેના પાટોત્સવમાં અમે એક અનોખો પ્રયોગ કરવાના છીએ. ધર્મજમાંથી જે 21 સંતો અને સાધ્વી થયા છે, તેમાંથી જેઓ હયાત છે તેમને આમંત્રણ આપીને બોલાવીશું. તેમનું પૂજન, અર્ચન અને સન્માન થાય તેવું વિચાર્યું છે. આ કારણે ધર્મજને ચરોતરનું પેરિસ કહેવાય છેધર્મજના વતની કૃષ્ણકાંત ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ધર્મજ ગામના ઇતિહાસમાં અમે એક જ પિતાની વસતિ છીએ. અમારા મુખ્ય બાપા રંગાબાપા હતા, જે સોજીત્રા પાસેના વિરોલ ગામથી અહીં આવીને વસેલા. વસતિ વધતી ગઈ અને આજે 13 પેઢીએ પણ અમે એક જ પિતાની વસતિ છીએ. વિદેશમાં અમારી વસતિ બહુ છે. એ બધા લોકો બહાર રહીને મહેનત કરીને કમાયા અને પૈસા અહીંયા મોકલ્યા. 'ધર્મજમાં અત્યારે 11 નેશનલાઇઝ બેંકો છે, જ્યાં લોકો એફ.ડી. કરે છે, તેથી તેઓ 'રિચેસ્ટ મિલેનિયોર્સ' તરીકે ઓળખાય છે. લોકવાયકા મુજબ લોકો કહેતા આવ્યા છે કે ધર્મજ એ 'ચરોતરનું પેરિસ' છે. સુવિધા સારી, રહેવાની સગવડ સારી, ચોખ્ખાઈ અને ઉત્તમ એજ્યુકેશન. દેશના પ્રથમ નાણાંમંત્રી એચ.એમ. પટેલના નામની અહીં સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ છે. અહીં 'જલારામ જન સેવા ટ્રસ્ટ' છે જે હોસ્પિટલ ચલાવે છે. એટલે જ તેની સરખામણી પેરિસ સાથે કરવામાં આવે છે.' તેમણે વધુમાં કહ્યું કે, તેઓ બહાર નીકળ્યા એટલે અમને પ્રેરણા મળી કે ભણી-ગણીને કમાઇએ અને પોતાના ગામ તેમજ પરિવારને સમૃદ્ધ કરીએ. તમે વિશ્વના કોઈપણ દેશના નકશા પર આંગળી મૂકો, ત્યાં તમને ધર્મજનો એક પટેલ તો ચોક્કસ મળશે જ. ‘પહેલા પરિવારમાં દીકરા-દીકરીઓની સંખ્યા વધુ હતી અને જમીન-મિલકતો ઓછી હતી, તેથી આફ્રિકા જવાના સોર્સ વધારે હતા. કુંટુંબ ભાવના અને ભાઇચારો એવો હતો કે એક ભાઇ બીજાને વિદેશ લઈ જાય. એમ કરતાં કરતાં આજે બધા સુખી છે અને બધાને ધર્મજ પ્રત્યે અપાર પ્રેમ છે. ગામમાં અત્યારે યુવા વર્ગ ઓછો છે. છેલ્લા 10 વર્ષમાં ઘણા યુવાનો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે કેનેડા જતા રહ્યા છે. 21 વર્ષના થાય એટલે કેરિયર બનાવવા બહાર નીકળી જાય છે. 40 વર્ષથી ઉપરના લોકો અને સશક્ત વડીલો અત્યારે ગામમાં રહીને પોતાની સંભાળ રાખે છે.’ ‘ટાવર પણ અમારા ધર્મજનું ગૌરવ કહેવાય. તે હરિભાઈ નાથાભાઈએ તેમના પિતાજીના સ્મરણાર્થે બનાવ્યું હતું. તે પરિવાર પહેલાં રોડેશિયા ગયો હતો, જે અત્યારે ઝિમ્બાવે કહેવાય છે. તેઓ હજુ પણ અહીં આવતા હોય છે, જેમાંથી એક સભ્ય પ્રોફેસર છે. તે ટાવરને પણ 85 થી 90 વર્ષ જેવું થયું હશે.’ RRR ફિલ્મનું જે મકાનમાં શુટિંગ થયું હતું તે મકાન પછીથી શુટિંગ હાઉસ તરીકે ઓળખાય છે. જો કે શુટિંગ ગ્રામજનોને હાલાકી થતાં હવે તેના પર પ્રતિબંધ મુકી દેવાયો છે. શુટિંગ હાઉસના માલિક ભૂપેન્દ્રભાઇ રાવજીભાઇ પટેલ કહે છે કે હું નિવૃત્ત જીવન જીવું છું અને સામાજિક કામ કરું છું. અમારો વિસ્તાર ટેકરા ફળિયાંથી ઓળખાય છે ત્યાં હું 15 વર્ષથી રહું છું. આ મકાનના મૂળ માલિકો સ્થળાંતર કરીને અમેરિકા જતાં રહ્યાં છે. આ મકાન ખરીદ્યું છે. ‘આ મકાનની કોતરણી, સ્ટ્રક્ચરને લઇને અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમારા ઘરે આવે છે અને ફોટાં સહિતનો અભ્યાસ કરવા આવે છે અને તેમને હું પુરતી મદદ કરું છું. કોઇપણ ડાયરેકટર આવે તે પહેલાં મારા જ ઘરે આવે છે. રો (Romeo Akbar Walter) ફિલ્મના ડાયરેક્ટરોએ એક મહિના સુધી અમારા ગામમાં સર્વે કર્યો હતો. તેમને મારું મકાન ખૂબ જ પસંદ આવ્યું, તેથી તેમણે શૂટિંગ માટે મારી મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે જોન અબ્રાહમ અહીં આવશે અને તમારા મકાનમાં શૂટિંગ કરવાનું છે. મેં તેમને મંજૂરી આપી અને શૂટિંગ માટે જરૂરી રિનોવેશનથી માંડીને તમામ બાબતોમાં પૂરતો સહકાર આપ્યો. મારા સહકારથી તેઓ એટલા ખુશ થયા હતા કે તેમણે મને ખાસ કહ્યું હતું, આ હવેલી કોઈને આપતા નહીં, અમે ફરી અહીં શૂટિંગ માટે આવીશું. ત્યારબાદ વડોદરા સ્થિત ડાયરેક્ટર કિશોરભાઈ ફરીવાર આવ્યા હતા. મહિના પહેલાં તેમનો ફોન આવ્યો કે તેઓ જેકી શ્રોફની ફિલ્મનું શૂટિંગ અહીં કરવા માંગે છે. તેમણે મને પંચાયતને સમજાવવાની અને મંજૂરી અપાવવાની જવાબદારી લેવા કહ્યું. મેં તેમને જણાવ્યું કે, તમે રૂબરૂ આવો, આપણે સાથે મળીને પંચાયત ઓફિસે જઈશું અને વાત કરીશું. જો પંચાયત મંજૂરી આપશે, તો હું તમને તમામ પ્રકારનો સહકાર આપીશ. ત્યારે તેમણે 'ઓકે, પછી આવીશું' તેમ કહી વાત પૂરી કરી હતી.’
ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે મ્યુનિસિપલ કમિશનર ડો. એન.કે. મીણા અને નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભાવનગર અને અમરેલી જિલ્લાની 16 નગરપાલિકાઓ તથા ભાવનગર મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ઈજનેર (એ.એચ.એમ.), સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના મેનેજર તેમજ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ શાખાઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ભાગ લીધો હતો. એમ્પાવરીંગ મ્યુનિસિપલ સ્ટાફ, સ્ટ્રેન્ગ્ધનિંગ અર્બન ફ્યુચર્સ તથા ટ્રેઈનિંગ ટુડે ફોર સ્માર્ટર સીટીઝ ટુમોરોની ટેગ લાઈન હેઠળ પ્રાદેશિક કમિશનર, ભાવનગર ઝોનની કચેરી દ્વારા પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાના અધ્યક્ષસ્થાને ભાવનગર અને અમરેલી જિલ્લાની નગરપાલિકાઓના અધિકારી અને કર્મચારીઓ માટે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ, સરદારનગર ખાતે પાણી પુરવઠા અંગેની તાલીમ યોજવામાં આવી હતી. તાલીમમાં કુલ 120 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પાણી પુરવઠા સંબંધિત કર્મચારીઓ અને અધિકારીઓને નવીન તકનીકો, જાળવણી પ્રક્રિયા, પાણીની ગુણવત્તા નિયંત્રણ તેમજ આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ માટે સુસજ્જ કરવાનો છે. તાલીમ કાર્યક્રમમાં પાણી શુદ્ધિકરણ, પાઇપલાઇનની જાળવણી, લીકેજ નિયંત્રણ, પાણી બચતના ઉપાયો, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પુરવઠા વ્યવસ્થાની કાર્યક્ષમતા વધારવા અંગે સમજૂતિ આપવામાં આવી હતી. તેમજ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ નિવારણ પ્રક્રિયા અને જનજાગૃતિ કાર્યક્રમોની મહત્વતા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વિવિધ યોજના અને તેના હેતુવર્ષ 2025-26માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત 2.0 યોજના, 15મું નાણાપંચ, આઇકોનિક રોડ વિકસાવવા, ઉપરાંત સ્વચ્છતા અને અન્ય બાબતો માટે બજેટ ફાળવવા આવેલ છે. જે ગત વર્ષ કરતા 40 % વધુ છે, આ વધુ ગ્રાન્ટ ફાળવવાનો ઉદ્દેશ લોકોને ગુણવત્તાયુક્ત પાણી અને સારા રસ્તાઓ આપવા, શહેરની સફાઈ અને પર્યાવરણ સુધારો તેમજ વહીવટી કામગીરીનું ડિઝિટલાઇઝેશન કરવાનો છે
દુષ્કર્મનો મામલો આવ્યો સામે:ભાવનગર શહેરમાં મનોદિવ્યાંગ યુવતી ઉપર ભાડે રહેતા શખ્સે દુષ્કર્મ આચર્યું
ભાવનગર શહેરમાં મજુરી કરતા એક આધેડ મહિલા મજુરીએ બહાર ગયા હતા. જે દરમિયાન તેમના ઘરે એકલી રહેલી મનોદિવ્યાંગ પુત્રી ઉપર તેમના મકાનમાં ઉપરના માળે ભાડે રહેતા શખ્સે યુવતી પાસે આવી, બળબજરી કરી, યુવતી ઉપર દુષ્કર્મ આચરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ મનોદિવ્યાંગ યુવતએ સમગ્ર વાત ઘરે પરત ફરેલી માતાને જાણ કરતા માતાના પગની નીચેથી જમીન ખસી જવા પામી હતી અને આધેડ મહિલાએ પોતાની મનોદિવ્યાંગ પુત્રીને લઇને બોરતળાવ પોલીસ મથકે પહોંચી હતી અને દુષ્કર્મી શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ભાવનગર શહેરમાં રહેતા એક મહિલા આધેડ મજુરીકામ ઉપર ગયા હતા. જે દરમિયાન તેમના ત્રણ દિકરા પણ ઘરેથી મજુરી કામ પર જતા રહ્યા હતા. જે વેળાએ તેમની ત્રેવીસ વર્ષિય મનોદિવ્યાંગ પુત્રી ઘરે એકલી હતી. અને તેઓ મજુરીકામ કરીને ઘરે પરત ફર્યા હતા. જે દરમિયાન તેમની મનોદિવ્યાંગ પુત્રી તેમની પાસે આવીને રડવા લાગી હતી અને પુત્રીએ માતાને જણાવ્યું હતું કે, તેમના ઘરની ઉપર ભાડે રહેતો મહેશ પિઠાભાઇ ખીમસુરીયા (રહે. પીપરાળી, તા. ઉમરાળા) વાળો તેમની પાસે આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરી હતી અને બાદમાં પુત્રીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી જતો રહ્યો હતો. તેમજ વધુમાં બે દિવસ અગાઉ પણ ભાડે રહેતો આ શખ્સ તેમના ઘરના પાછલા બારણેથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે વેળાએ પણ માતાની ગેરહાજરીમાં પુત્રી સાથે દુષ્કર્મ આચરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનું માતાને જણાવતા આધેડ મહિલા તેમની પુત્રીને લઇને બોરતળાવ પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર વાત પોલીસ અધિકારીને જણાવતા પોલીસે આ મામલે આરોપી મહેશ પિઠાભાઇ ખીમસુરીયા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી, આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મોટી દુર્ઘટના ટળી:રેલેવે ડ્રાઇવરની સમયસરની બ્રેકથી ટ્રેક પર આવેલા સાવજનો જીવ બચી ગયો
મહુવા રેલવે સ્ટેશનથી તા. 10/1 ના જતી ટ્રેન ગાડી નં. 22990 પોતાના નિયમિત પ્રવાસ દરમિયાન સાવરકુંડલા અને લીલીયા મોટા વચ્ચે પહોંચી હતી ત્યારે રાત્રિના સમયે અચાનક રેલવે ટ્રેક પર સિંહ દેખાતા ક્ષણભરમાં સ્થિતિ ગંભીર બની ગઈ હતી. રાત્રિના અંદાજે 8:45થી 8:52 વાગ્યાના સમયગાળા દરમિયાન ટ્રેનના પાઇલોટને દૂરથી જ ટ્રેક ઉપર સિંહ નજરે પડતા તેમણે તરત જ આપાતકાલીન બ્રેક લગાવી ટ્રેન રોકી હતી. ટ્રેન નજીક આવતી જોઈ સિંહ ટ્રેક પરથી દૂર ખસી આસપાસની જાળી-ઝાખરામાં ચાલ્યો ગયો હતો. ત્યારબાદ રેલવેના કર્મચારીઓ દ્વારા ટ્રેક તેમજ આજુબાજુના વિસ્તારમાં સાવચેતીપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને સિંહ હાજર ન હોવાની ખાતરી થયા બાદ ટ્રેનને ફરી આગળ ચલાવવામાં આવી હતી. પાઇલોટ અને સ્ટાફની સમયસર લેવાયેલી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી.
ધોળાવીરા નજીક આવેલા ભંજડા દાદાના સ્થાનકનું ધાર્મિક, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે હાલ આ સ્થળને વ્યુ પોઇન્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે પણ ભવિષ્યમાં ઇન્ટરનેશનલ રિસર્ચ સુધીની તકો અહીં છુપાયેલી છે.સામાન્ય રીતે રણ, દરિયો અને ડુંગર ત્રણેય અલગ અલગ હોય પરંતુ એકમાત્ર આ સ્થળ એવું છે જ્યાં ત્રણેયનો સંગમ થાય છે. વિશ્વ વિરાસત ધોળાવીરા નજીક આ સ્થળ આવેલું છે જ્યાં ડુંગર તેમજ વરસાદી પાણી હોય ત્યારે સમુદ્ર અને પાણી સુકાઈ જાય ત્યારે એકદમ સફેદ મીઠા સાથે રણનો અહેસાસ થાય છે. ભાદરવા સુદ 14ના અહીં મેળો પણ ભરાય છે. કિનારા પર મંદિર બનાવાયુ છે જ્યાં ભાવિકો આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગેબીયન વોલ, વોક વે બનાવવા રજૂઆતધોળાવીરાના સરપંચ જિલુભા સોઢા સાથે વાત કરતાં તેઓએ માહિતી આપતા જણાવ્યું કે, આ સ્થાનકનું ધાર્મિક મહત્વ વિશેષ છે તેમજ અહીં સનસેટ નિહાળવા લાયક હોય છે. ભાવિકો અને પ્રવાસીઓ અહીં આવે છે ત્યારે આ સ્થળનો વિકાસ કરવા માટે રજુઆત કરી હતી. જેમાં બેસવાના બાંકડા, શૌચાલય, પાર્કિંગ સહિતની સુવિધા છે. આ સિવાય ગેબીયન વોલ, નીચે ઉતરવા માટે પગથિયાં, વોક વે બનાવવા માટે પણ પ્રવાસન વિભાગમાં રજુઆતો કરેલી છે.જેને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ફ્લેમિંગો અને વન્યપ્રાણી પણ જોવા મળેઆ સ્થળે ફ્લેમિંગો સહિતના પક્ષી તેમજ વન્યપ્રાણીઓ જોવા મળે છે. હાલમાં વરસાદી પાણી ભરેલા છે, પણ ડુંગર પર વિવિધ જાતની ઉપયોગી વનસ્પતીઓ છે. આ સ્થળેથી સનસેટનો નજારો માણવા લાયક છે. પ્રવાસન સિઝન હોવાથી પ્રવાસીઓ આવી કુદરતી નજારો માણી તસવીરો મોબાઈલમાં કેદ કરે છે. આકાશદર્શન માટે પણ લોકો આવે છેઆ સ્થળે વાતાવરણ સ્વચ્છ અને પ્રકૃતિમય હોવાથી આકાશદર્શન થાય છે જેથી હાલે ધોળાવીરા આવતા પ્રવાસીઓ ખાસ આ સ્થળે આકાશદર્શન માટે આવતા હોવાનું પણ સરપંચ જીલુભાએ જણાવ્યું હતું. ફોનોલાઈટ અને ટ્રેકાઈટ નામના પથ્થરો ભંજડા સિવાય કયાંય મળતા નથીઆ સ્થાનકના જીયોલોજીકલ મહત્વની વિશેષ માહીતી આપતા કચ્છ યુનિ.ના પ્રોફેસર અને સંશોધક ડો.ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, ભંજડા દાદાનો ડુંગર રણની વચ્ચે આવેલો છે તેની રચના આઈલેન્ડ ફોલ્ટના કારણે થઈ છે.પૃથ્વીની ઉપરનું સ્તર ક્રસ્ટ કહેવાય, જ્યારે કોઈ ફોલ્ટ ક્રસ્ટને કાપી નાખે ત્યારે તેની નીચે મેન્ટલ હોય છે જ્યાં જવાળામુખી હોય છે. અંદાજે સાડા 7 કરોડ વર્ષ પહેલાં જ્વાળામુખી ફાટ્યો ત્યારે અમુક ભાગ જમીનમાં દેખાયો એ ભંજડો ડુંગર કહેવાય છે. જવાળામુખીનો ડુંગર હોય ત્યારે તેમાં અલગ અલગ પથ્થરો મળતા હોય છે આ ડુંગર પર ફોનોલાઈટ અને ટ્રેકાઈટ નામના પથ્થરો મળી આવે છે. જે ભંજડા સિવાય કયાંય મળતા નથી. કચ્છના સૌથી ઉંડાઈના અને હજારો કિલોમીટર નીચે આવેલા આ પથ્થરો છે.ધોળાવીરામાં અન્ય ડુંગરોમાં જળકૃત એટલે કે પીળા પથ્થરો મળે છે જ્યારે એકમાત્ર આ ડુંગર જ્વાળામુખીથી બન્યો હોવાથી ત્યાં અગ્નીકૃત પથ્થર મળે છે. અહીં સંશોધન થયા હોવાનું પણ ઉમેર્યું હતું.
ભાવનગર શહેરમાં હાલ ઠેર ઠેર રસ્તાના રિપરિંગના કામકાજ ચાલી રહ્યાં છે ત્યારે રસ્તા બંધના બોર્ડ મુક્યા હોવા છતાં તેમજ રસ્તાની બન્ને બાજુ ધૂળના મોટા મોટા ટેકરા કર્યા હોવા છતાં ભાવનગરના બાઇક અને મોટરસાયકલના ચાલકો તેને અવગણીને આ એક તરફના ત્રણથી સાડા ત્રણ ફૂટ ઉંચા અને બીજી તરફના અઢી ફૂટના ટેકરા ઉપરથી સ્પિડમાં બાઇક કે મોટર સાયકલ દોડાવે છે. જેમાં ગમે ત્યારે વાહન અકસ્માત થાવની શક્યતા છે. તંત્ર દ્વારા બન્ને બાજુ રસ્તા બંધના બોર્ડ છે વળી બાજુમાં જ મેઇન રોડ છે ત્યાંથી ડાયવર્જન છે. લોકોએ આ બાબતે સ્વયં શિસ્ત જાળવવી જરુરી છે. અન્યથા અકસ્માત થશે. ભાવનગર શહેરમાં તખ્તેશ્વર પોલીસ ચોકીથી નવા ગુરૂદ્વારા તરફ જવાહર મેદાનથી પેરેલલ જતા રસ્તામાં રિપેરિંગ કામ ચાલુ હોય હાલ બન્ને તરફથી રસ્તો બંધ છે અને બન્ને બાજુ નાના વાહનો દોડી ન શકે તે માટે મોટા મોટા ટેકરા કર્યા હોવા છતાં બાઇક ચાલકો કોસ જાતની ચિંતા વગર બાઇક ઠેકાવતા હોય તે રીતે બંધ રસ્તામાંથી વાહન ચલાવે છે. બાકી નિયમ પાલન કરે તો આગળ થોડે જ દુર માધવ દર્શન વાળો રસ્તો છે જ્યાંથી ડાયવર્ઝન કરીને નિશ્તિંતપણે વાહન દોડાવી શકાય છે. પણ થોડા અંતર ન કાપવા તેમજ ખોટી બહાદુરી દેખાડવા ધુળકપચીના ટેકરા ઠેકાવે છે. જે બંધ કરવું જોઇએ. ટેકરાને કુદાવવા જતા બે બાઇક સ્લીપ થયાઆ રસ્તા પર નવા ગુરૂદ્વારાથી તખ્તેશ્વર પોલીસ ચોકી તરફ જતા બે એક્ટિવા ચાલકો હજી બે જ દિવસ પહેલા આ ટેકરારૂપી અડચણને ઠેકાડવા જતા તેમના બન્નેના એક્ટિવા સ્લીપ થઇ ગયા હતા જો કે ધૂળ હોય તેમજ સામે ટ્રાફિક ન હોય મોટો અકસ્માત થતો રહી ગયો હતો.
સ્વામી વિવેકાનંદની 164મી જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષમાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીની ભાવનગર શાખા દ્વારા સૂર્ય નમસ્કાર મહાયજ્ઞ 2026 એ. વી. સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ. શરીર, શ્વાસ અને ઉર્જાના સ્તુતી ગાન, યોગનું કરોડરજ્જુ ગણાતા અને આ ભાગદોડ ભરી જીવનચર્યા સ્ટ્રેસ બસ્ટર એવા આ સૂર્ય નમસ્કાર માટે કેન્દ્રના પ્રશિક્ષકો દ્વારા છેલ્લા વીસ દરમ્યાન વિવિધ સ્કૂલ કોલેજો માં જઈ બાળકો ને સૂર્ય નમસ્કારનું પ્રશિક્ષણ આપ્યા બાદ ધો.9,10, અને 11 ના બાળકો આજની આ ઇવેન્ટ માં ભાગ લીધેલ. ભાવેણાનાં યુવાનો દ્વારા રાજા કૃષ્ણકુમારસિંહજીનું ધ્યેય વાક્ય મારી પ્રજા નું કલ્યાણ થાજો સૂર્યનમસ્કાર કરીને ચરિતાર્થ કર્યું. આજનાં સમયમાં શરીર મજબૂત અને નિરોગી બને, મન વજ્ર જેવું તાકતવર બને અને બુદ્ધિ તલવાર ની ધાર કરતા પણ વધુ તીક્ષ્ણ બને એ માટે સૂર્યનમસ્કાર એ દિનચર્યા નો ભાગ બને અને યુવાઓ નું વ્યક્તિત્વ તેજસ્વી અને અસરદાર બને, જે આજના બદલાયેલા સમયનો સામનો સકારાત્મકતાથી કરી શકે અને જીવનને પ્રસન્નતાથી માણી શકે છે. વંદે માતરમના 150 વર્ષને વંદન કરતા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી. મીશ્વાબેને શાંતિ પાઠ કરાવ્યો. ભાવનગર સ્ટેટના કુંવરીસાહેબ બ્રિજેશ્વરી ગોહિલે શારીરિકનાં મહત્વ વિષે વાત કરી. નગર પ્રમુખ જીજ્ઞેશભાઈ ચૌહાણ દ્વારા આજના કાર્યક્રમની પ્રસંગિકતા વિષે વાત કરતા કહ્યું કે, સ્વામી વિવકાનંદજી દ્વારા 1892 માં 25,26,27 ડિસેમ્બર નાં દિવસો માં ધ્યાન કરવામાં આવ્યું, અને ત્યારબાદ ભારતના યુવાનોને શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંદેશ આપ્યો. રોહનભાઈએ સૂર્યનમસ્કાર મંત્ર બોલાવડાવ્યો અને બાળકોએ મળીને 24 સૂર્યનમસ્કાર કર્યા. તુલસીબેન દ્વારા સૌ બાળકોને દેશ હમેં દેતા હૈ સબકુછ પ્રેરણાદાયી દેશભક્તિ ગીતનું ગાન કર્યું. ભાવનગર સ્ટેટના કુંવરી સાહેબ બિજેશ્વરી કહ્યું કે યોગ એ વિદ્યાર્થી જીવનમાં ખુબ આવશ્યક છે, એનાથી વિદ્યાર્થી જીવનમાં એકાગ્રતા વધે છે જે અધ્યયન માટે ખૂબ જ જરૂરી છે.ડૉ. ચિંતનસિંહે બાળકોને વાર્તાના દ્રષ્ટાંતો દ્વારા તમે કરેલા સૂર્ય નમસ્કાર ફકત તમને જ નહીં પણ આસપાસના લોકો અને વાતાવરણમાં પણ ઉર્જાનો સંચાર કરશે અને કોઈ કામની લક્ષ્ય પ્રાપ્તિ કરતા પ્રકિયામાં આનંદ માણશો તો સફળ જરૂર થશો જેવી શીખ આપેલ.
દારૂની હેરાફેરી ઝડપાઈ:દમણથી આવતો દારૂનો જથ્થો પીપળવા ગામેથી ઝડપી લેવાયો
ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે બે બુટલેગરો કારમાં વિદેશી દારૂ છુપાવી મસમોટો જથ્થો લાવતા હોવાની ભાવનગર પેરોલ ફર્લો સ્કવોર્ડને બાતમી મળતા, બાતમી આધારે કારની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર પાલિતાણાના રેલ્વે ફાટક પાસે પસાર થતાં પોલીસે કાર થોભાવવાની કોશીશ કરતા, કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ગારિયાધાર તરફ હંકારતા પોલીસે ફિલ્મી સ્ટાઇલે કારનો પીછો કરી, ગારિયાધારના પીપળવા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે કારમાં સવાર બે બુટલેગરને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરાઇ છે. દમણથી પાલિતાણા દારૂ લાવતા હોવાની પોલીસ સમક્ષ બુટલેગરોએ કબૂલાત આપી હતી. દમણથી કારમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરી પાલિતાણા ખાતે બે બુટલેગરો કારમાં લાવતા હોવાની ભાવનગર પેરોલ ફર્લો સક્વોર્ડને બાતમી મળતા પાલિતાણાના રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન કાર સવારે પોલીસને જોઇને કાર ગારિયાધાર તરફ પુરપાટ ઝડપે હંકારી હતી. પોલીસે કારનો ફિલ્મી સ્ટાઇલે પીછો કરતા ગારિયાધારના પાંચટોપરા - પીપળવા ગામની વચાળે કારને ઓવરેટક કરી, કોર્ડન કરી, કારમાં સવાર બે શખ્સોને નીચે ઉતારી કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 1008, કિ.રૂા. 3,14,496ના મુદ્દામાલ કબ્જે કરી, વૃંદ મનીષભાઇ ઝાલાવાડીયા, અક્ષય ગોરધનભાઇ કોસીયાની ધરપકડ કરી હતી. જ્યારે દમણથી દારૂ મોકલનાર મનીષ કુશવાહા, સંજય રાજુભાઇ મકવાણા અને પ્રહલાદ પ્રેમજીભાઇ ગોહિલની શોધખોળ શરૂ કરાઇ છે.
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શિવશક્તિ હોલ ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં શહેર કોંગ્રેસના પ્રભારી હરીભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યાં હતાં અને સૌ પ્રથમ વખત ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેજ ફ્રી (સ્ટેજ નહીં પરંતુ સૌ એક સમાન)ની પહેલ કરી હતી તેમજ આવનારી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત તમામ વોર્ડ પ્રમુખ પાસેથી સૂચન મેળવાયા હતાં સાથોસાથ ભાવનગર પ્રભારી હરીભાઈ ભરવાડ દ્વારા આગામી મહાપાલિકા ચુંટણી જીતવા હુંકાર કરાયો હતો. 2026ની પ્રથમ કારોબારી બેઠક મા લાલભા ગોહિલના નવતર પ્રયોગ “નેતા નહી સૌ કાર્યકર”ને તમામ લોકોએ આવકાર અપાયો હતો. બેઠકના અંતમાં લાલભા ગોહિલ દ્વારા મહાપાલિકાની ચૂંટણી જીતવા હુંકાર કર્યો હતો
સિદ્ધિ:55 વર્ષ સુધી મેદાન જોયું નહોતું ને હવે 64 વર્ષની ઉંમરે એથ્લેટિક્સમાં ગોલ્ડ
જિંદગીના 55 વર્ષ સુધી મેદાન જોયું નહોતું, પણ પછી સ્પોર્ટ્સની એવી ધૂન ચડી કે હાલમાં 64 વર્ષની ઉંમરે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાની ઉંમરને વધુ ધબકતી કરી દીધી છે. વાત છે ભાવનગરના સિનિયર સિટીઝન પ્રજ્ઞાબેન ગાંધીની..તેઓ સામાજિક, શૈક્ષણિક રીતે સેવારત હોવા સાથે રમતગમત ક્ષેત્રે પણ અન્ય ઉંમરલાયક વ્યક્તિને પ્રેરણા આપે તે રીતે સફળ થયા છે. પ્રજ્ઞાબેન ગાંધીએ હાઈ જમ્પ અને 200 મીટર દોડમાં વિજેતા બનીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને 400 મીટર દોડમાં સિલ્વર મેડલ અંકે કર્યો છે. તેમણે વાતચીત કરતા જણાવ્યું કે, તે રોજ વહેલી સવારે 5 વાગ્યે જાગીને ઘરના કામકાજ પૂર્ણ કરીને તેના માટે પ્રેક્ટિસ કરે છે અને હજુ આગળ નેશનલ કક્ષા સુધી પહોંચીને દેશમાં વિજેતા બનવાના લક્ષ્યનો નિર્ધાર કર્યો છે. માત્ર જોવા માટે આવો, રમતા થઈ જશોઆટલી ઉંમરે તો બધા જિંદગીને વાઈન્ડ અપ કરતા હોય પણ તમે શરૂઆત કરી એ પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે, આપણે ધારીએ તે થઈ શકે છે.સાચું જ કહ્યું છે કે નથીંગ ઇસ ઇમપોસિબલ.આ બધી રમતો માત્ર ઉંમરલાયક માણસોએ જોવા માટે આવવું જોઈએ. માત્ર જોવા માટે આવવાથી પણ રમતા થઈ જવાય છે. મારા ઘરની જવાબદારીઓ તેમજ અન્ય પ્રવૃત્તિઓને કારણે 55 વર્ષ પછી જ મને રમત-ગમતનો શોખ લાગ્યો છે અને હવે જાણે નવી જિંદગી શરૂ થઈ હોય તેમ આગળ વધી રહી છું.
ઉત્તરના પવનથી શહેર ઠંડુગાર:હિમ પવન સાથે 12 ડિગ્રીએ સિઝનની સર્વાધિક ઠંડી
શહેરમાં ઠંડા પવનોની અસરથી ભાવનગર શહેરમાં આજે સવારે કડકડતી ઠંડીનો હુનભવ થયો હતો અને આ સિઝનમાં શહેરમાં સૌ પ્રથમ વખત લઘુત્તમ ઉષ્ણતામાનનો પારો 12 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. સાથે સવારના સમયે હિમ પવન હોય શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા હતાં. વહેલી સવારે ધુમ્મસ પણ હતું. દિવસે વાતાવરણ ઠંડુગાર રહેતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. હજુ 13 જાન્યુઆરી સુધી ભાવનગર શહેરમાં ઠંડીનો પારો 12થી 13 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. આ વર્ષે અત્યાર સુધીમાં શિયાળામાં સૌથી ઓછું તાપમાન ગઇ કાલે 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.4 ડિગ્રી ઘટીને 12 ડિગ્રી થઇ ગયુ અને સાથે 12 કિલોમીટરની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા સવારે નગરજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ઉત્તરના બર્ફિલા પવનો સક્રિય થવાના કારણે શહેરમાં કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.ભાવનગર શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 12 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ભાવનગરવાસીઓએ આ સિઝનની સૌથી વધુ ઠંડી અનુભવી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં આ સિઝનમાં ઠંડીનો બીજો તબક્કો જામ્યો છે. જો કે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન જે ગઇ કાલે 27.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે નજીવું વધીને 27.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જો કે પવનની અસરથી ઠંડી યથાવત રહી હતી. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયુ તે આજે સાંજે ઘટીને 42 ટકા થઇ ગયુ હતુ. ઉત્તર ભારતમાંથી ફૂંકાતી ઠંડી પવનની અસરને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધુ ઘેરો બન્યો છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ હજુ પણ રહેશે. બર્ફિલા પવનથી વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારોઅચાનક તાપમાન ગગડવાથી શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને વહેલી સવારે વોકિંગમાં જનારા વૃદ્ધો અને બાળકોએ કાન અને છાતી ઢંકાય તે રીતે ગરમ કપડાં પહેરવા હિતાવહ છે. આગામી બે દિવસ હજુ પણ તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનો ધ્રુજાવી રહ્યા છે ત્યારે બે દિવસથી શહેરમાં પણ સુસવાટા મારતા બર્ફીલા પવનોએ નગરજનોને સવારથી ધ્રુજાવી દીધા હતા. શહેરમાં ગત વર્ષની 11 જાન્યુઆરીથી તાપમાન 3.5 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછુ નોંધાયુગત વર્ષ, 2025માં 11 જાન્યુઆરીએ ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે આ વર્ષે શહેરમાં ઠંડીનો તબક્કો જામ્યો છે ત્યારે લઘુત્તમ ઉષ્ણતામાન આજે 11 જાન્યુઆરીએ 12 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ગત વર્ષની તુલનામાં આજે ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 3.5 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું રહેતા ઠંડીની તીવ્રતામાં ઘણો વધારો થયો છે.
મંડે પોઝિટીવ:ભાવનગરમાં 14 વર્ષથી વિશ્વાસ પર ચાલતી અનોખી નેચરલ જ્યુસ સેવા
ભાવનગર શહેરમાં આરોગ્ય પ્રેમીઓ માટે એક અનોખી અને પ્રેરણાદાયક વ્યવસ્થા છેલ્લા 14 વર્ષથી સતત કાર્યરત છે, જ્યાં નફા કરતાં સેવા અને વિશ્વાસને પ્રાથમિકતા આપવામાં આવે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગેટ પાસે, ડેરી રોડ જોગર્સ પાર્ક નજીક શરૂ થયેલી આ નેચરલ જ્યુસ સેવા રોજ સવારે શહેરના સેંકડો લોકો માટે આરોગ્યનું આશ્રયસ્થાન બની રહી છે. અહીં ખાસ વાત એ છે કે પૈસાનો ગલ્લો માલિક પાસે નહીં પરંતુ ગ્રાહકો પાસે જ રહે છે અને દસ રૂપિયામાં જેટલી વખત મન થાય તેટલી વખત નેચરલ જ્યુસ પીવાની છૂટ આપવામાં આવે છે, જે વિશ્વાસ અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. આ જગ્યાએ અલગ અલગ પ્રકારના પાંચ નેચરલ જ્યુસ તૈયાર કરવામાં આવે છે, જેમાં સરગવાનું, હળદર, ફુદીનો, કોથમરી, તુલસી, લીમડો, મેથી, પાલક, બીટ સહિતના ઔષધીય પાન-ભાજીનો સંયોજન કરવામાં આવે છે. આ જ્યુસ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, પિત, કફ, કબજિયાત તેમજ વિટામિનની ઉણપ જેવી સમસ્યાઓમાં ઉપયોગી બની શકે છે એવું માનવામાં આવે છે. ખાસ કરીને સરગવાનું જ્યુસ આશરે 300 પ્રકારના રોગોમાં લાભદાયક બની શકે છે એવી નેચરોપેથીમાં માન્યતા છે, જેના કારણે આરોગ્યજાગૃત લોકોમાં તેની વિશેષ માંગ જોવા મળે છે. આ સમગ્ર સેવાકાર્ય નેચરોપેથીના નિષ્ણાત ડોક્ટર ભરતભાઈ પરમાર દ્વારા સંચાલિત થાય છે, જેમના પાસે નેચરોપેથીની સત્તાવાર ડિગ્રી છે અને તેઓ કુદરતી ઉપચાર પદ્ધતિ દ્વારા લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા આપે છે. અહીં આવનાર દરેક વ્યક્તિ જરૂર મુજબ જેટલું પીવું હોય તેટલું જ્યુસ લે છે, જેના કારણે સ્વચ્છતા, સ્વતંત્રતા અને સંતોષની ભાવના ઉભી થાય છે. દરરોજ સવારે 6 થી 11 વાગ્યા દરમિયાન 500 થી વધુ લોકો નિયમિત રીતે જ્યુસ પીવા આવે છે. વર્ષ દરમિયાન ફક્ત બે દિવસ બેસતું વર્ષ અને ભાઈ બીજ ના દિવસે જ આ સેવા બંધ રહે છે, બાકી તમામ દિવસોમાં નિરંતર ચાલુ રહે છે અને આરોગ્યસેવામાં અનોખો દાખલો બેસાડે છે.
સિટી એન્કર:પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે ખરીદીનો પવન ફૂંકાયો
રંગબેરંગી પતંગોથી આકાશને રંગવા ભાવનગર સજ થઇ રહ્યું છે અને હવે છેક અંતિમ તબક્કામાં ભાવનગર શહેરમાં પતંગ બજારમાં ખરીદીનો પવન ફૂંકાયો છે. આ વર્ષે 15 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. ભૂરા આકાશ નીચે માંજા રૂપી તલવાર અને પતંગોની સેના દ્વારા ખેલાતા રંગભર્યા પતંગ યુદ્ધ માટે પતંગબાજો સજ્જ થઈ રહ્યા છે. તેની પ્રતીતિ કરાવતા દૃશ્યો આજે મકરસંક્રાંતિ પહેલાના છેલ્લા રવિવારે ભાવનગર ખાતે ઠેર ઠેર જોવા મળ્યા. ગુરુદ્વારા સામેના ગ્રાઉન્ડ, વડવા, ભાવ. પરા, બોરતળાવ, કુંભારવાડા, વડવા, ઘોઘારોડ અને જકાતનાકા વિસ્તારો સહિતના વિસ્તારો માં પતંગ અને રીલ પાવા વાળા વેપારીઓ ને ત્યાં યુવાઓ અને તરુણો મોટી સંખ્યા માં પહોંચી રીલ પીવડાવી અને પતંગ અને ફીક્કી ની ખરીદી કરી પતંગ યુદ્ધ ની તૈયારીઓ ને આખરી ઓપ આપી રહેલા જોવા મળ્યા હતા. પતંગમાં આ વખતે ત્રિવેણી ચીલ અને ખંભાતીના દબદબા વચ્ચે ફેન્સી પતંગોની ખરીદી પણ જોવા મળી જેમાં આશરે સરેરાશ 15% નો ભાવ વધારો જોવા મળ્યો તો રીલમાં આ વખતે 2500 વારના રૂપિયા 300વાળા રિલથી લઈ ને રૂપિયા1500 વાળા પાંચ હજારીયા AK 56 પ્લેટિનમ જેવી કિંમત ના રિલોની વિવિધતા જોવા મળી. જેને માંજા ચડાવવાના ભાવો રૂ.80થી લઇ ને રૂ.350 સુધીના લેવામાં આવે છે. તંત્રના પ્રતિબંધ વચ્ચે ચાઈનીઝ દોરીવાળી તૈયાર ફિરકીઓ પણ જોવા મળી . તો વળી સારી ગુણવતા ધરાવતી ફિરકીઓ પણ 140 જેટલી મોંઘી થતા આ પતંગ યુદ્ધ થોડું મોંઘુ બન્યું છે છતાં લોકો આ બાબતો ને અવગણી પતંગોત્સવ ઊજવવા ઉત્સાહી દેખાઈ રહ્યા છે. પતંગ અને રીલ ઉપરાંત આ તહેવાર ને લગતી એસેસરીઝ જેવી કે ગોગલ્સ, કેપ, બ્યૂગલ, ટોટી અને હાથ મોજાની પણ ડિમાન્ડ વધી છે. તો વેચાતા બ્લુન અને ફુગ્ગાઓના કારણે સર્કલો રંગદર્શી બન્યા છે.
સેમિનાર:યુવા પેઢીને આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ તરફની જરૂરી માહિતી અપાઈ
યુનિ.માં જીઓસાયન્સ એન્ડ સોશિયલ વર્ક વિભાગ દ્વારા સસ્ટેઈનેબીલીટી એન્ડ હ્યુમન એક્ષિસ્ટેન્સ: ક્વેસ્ટ ફોર સસ્ટેઈનેબલ એન્ટ્રપ્રેનીઓરશીપ વિષય પર સેમીનારનું આયોજન કરાયું હતું. વિકસિત ભારતના દેશભરમાં કાર્યક્રમો થઇ રહ્યા છે. જેના ભાગરૂપે, શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી વિદ્યાર્થીઓમાં ટકાઉ તેમજ પર્યાવરણને સુસંગત ઉદ્યોગસાહસિકતા સાથે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભરતાની સંકલ્પનાઓને ધ્યાનમાં રાખી ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટે પ્રોત્સાહન આપવાનો હેતુ હતો. યુવા પેઢીને આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ તરફ યોગ્ય દિશાનિર્દેશ પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. સેમીનારના મુખ્ય વક્તા ફોકિયાના નિમેશ ફડકે, ડીઆઈસીના કનૈયા સિન્હા, ડિન ડો. સુભાષ ભંડારી તેમજ સચિન પટેલ, ડો. હિતેશ સોલંકી, ડો. હિરણમઈ યાદવ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુલપતિ ડો. મોહનભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના કો-ઓર્ડીનેટર વિભાગના વડા અને આસિ.પ્રોફેસર ડો. મૃગેશ ત્રિવેદીના માર્ગદર્શનમાં ડો. સીમા શર્મા, લેબ આસિ. વિમલાબેન મહેશ્વરી વિભાગના વિદ્યાર્થી ડો. દ્રુમા વૈદ્ય, અપેક્ષાબેન, શિલ્પા ગોસ્વામી, અંજનાબેને જહેમત ઉઠાવી હતી. કુલસચિવ ડો. અનીલભાઈ ગોરે આભાર વિધિ કરી હતી.
અકસ્માત સર્જાયો:ભેંસાણમાં જીપે અડફેટમાં લેતા ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત
ભેંસાણ તળાવ પાસે પુરપાટ ઝડપે પસાર થતા બોલેરો પીકઅપ ચાલકે મોપેડ સવાર ધોરણ 12ના વિદ્યાર્થીને અડફેટમાં લઈ લેતા ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગે પોલીસે અજાણ્યા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડભોલી ચાર રસ્તા ગોપીનાથજી બંગલોઝ ખાતે રહેતા સુમિત લાઠીયા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને હાલ સ્મીમેર હોસ્પિટલમાં ડી વીંગમાં કન્સ્ટ્રક્શનની કામગીરી કરે છે. તેમનો 17 વર્ષીય પુત્ર આર્યમન મલગામા ગામ ખાતે આવેલી કન્ટ્રીસાઈડ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.
જ્યુપિટર ઓપોઝિશન:ગુરુ-શનિ ગ્રહના અદભૂત અવલોકન દ્વારા અવકાશ દર્શન
ભુજ સ્થિત રિજનલ સાયન્સ સેન્ટર ખાતે શનિવારે જ્યુપિટર ઓપોઝિશનના વિશેષ અવસર પર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીમાં ટેલિસ્કોપના માધ્યમથી ગુરુ અને શનિના અદ્ભુત અને સ્પષ્ટ દ્રશ્યો નિહાળ્યા હતા. આ એક એવી ખગોળીય ઘટના છે કે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ગુરુ ગ્રહ એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી, સૂર્ય તથા ગુરુની વચ્ચે હોય છે. આ સમયગાળામાં ગુરુ ગ્રહ વધુ મોટો, વધુ તેજસ્વી અને સ્પષ્ટ દેખાય છે. જેથી આ અવસર ગુરુ ગ્રહના નિરીક્ષણ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.કાર્યક્રમ દરમિયાન મુલાકાતીઓએ ગુરુના ચાર સૌથી મોટા કુદરતી ઉપગ્રહો જેને ગેલિલિયન ચંદ્રો કહે છે તે તેમજ શનિ ગ્રહના સુંદર વલયોનું અવલોકન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિતેશભાઈ બોખાણી દ્વારા મૂલકતીઓને રાત્રિ આકાશની અજાયબીઓ વિશે રસપ્રદ અને માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં બ્રહ્માંડ પ્રત્યે વૈજ્ઞાનિક જાગૃતિ વિકસાવવાનો અને આકાશદર્શન જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો હતો. આ પહેલનો હેતુ લોકોમાં બ્રહ્માંડ પ્રત્યે વૈજ્ઞાનિક જાગૃતિ વધારવાનો અને આકાશદર્શનને લોકપ્રિય બનાવવાનો રહ્યો હતો.
છેતરપિંડી:આવાસમાં મકાનના નામે 9 મહિલા સાથે 5.59 લાખની છેતરપિંડી કરાઇ
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ અપાવવાના બહાને શહેરની 9 મહિલા સહિત 9 જણા પાસેથી રૂ.5.59 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર ઠગ અને તેની આસિસ્ટન્ટ મહિલા સામે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પાલનપુર પાટીયા ગંગાનગર સોસાયટીમાં રહેતા જાગૃતિબેન કિનખાબવાલાનો 2023માં તેમના ભાઇના મિત્રની પત્ની ઝરણા જરીવાલા (જહાંગીરાબાદ) સાથે સંપર્ક થયો હતો. ઝરણાએ તેમને કહ્યું હતુંકે,મારા સાહેબ જીતેન્દ્ર મયેકર (જહાંગીરપુરા) પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવે છે. રૂ.35 હજાર ભરવાના રહે છે. તેમજ બાકીની લોન કરાવી આપવાનું કહ્યું હતું. જાગૃતિબેને ઝરણા મારફતે જીતેન્દ્રને ડોક્યુમેન્ટ્સ આપી 84,100 ચૂકવ્યા હતા. જાગૃતિબેને વાત કરતાં તેમના સગા વૈશાલી તમાકુવાલાએ 65,700, રીટા તમાકુવાલાએ રૂ.70,900, છાયા મિસ્ત્રીએ રૂ.71,000, ઉષા દાળવાલાએ 71,000, પ્રતિભા જરીવાલાએ રૂ.75,300, સંદિપ તમાકુવાલા રૂ.40,000, અસ્મિતા રાણાએ રૂ.54,200 તથા પુજા ગોળવાલાએ રૂ.26,600 મળીને કુલ 5,59 લાખ ઝરણા મારફતે જીતન્દ્રને આપ્યા હતા. જોકે, ડ્રોમાં આ 9 પૈકીના કોઇને પણ આવાસ ફાળવાયું ન હતું. આ અંગે તપાસ કરતા બંનેએ આવાસના નામે પૈસા પડાવ્યા હતા. રૂપિયા પરત નહીં આપતા બંને સામે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાને નોકરીએ રાખીને ગઠિયાએ લોકોને શિકાર બનાવ્યાઆવાસ અપાવવાની લાલચ આપીને જીતેન્દ્રએ જાગૃતિબેનનો વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં પોતાની બેંગકોકમાં હોટલ છે તમારા દિકરાને મેનેજર તરીકે નોકરી આપવાનું કહીને રૂ.27,500 તથા તેમના પતિને સુરત એરપોર્ટમાં નોકરી લગાવી આપવાનું કહીને રૂ.8,600 પડાવી લીધા હતા.
મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ મૂકીને દુબઇની 24X7 કલબ નામની કંપનીના નામે લોકો પાસે રોકાણ કરાવીને છેતરપિંડી કરવાના રેકેટનો સાયબર ક્રાઇમની ટીમે પર્દાફાશ કરીને બેની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદના માસ્ટરમાઇન્ડને વોન્ટેડ જાહેર કર્યો છે. લોકોને રોજના 0.5 ટકા અને માસિક 10 ટકા વળતરની લાલચ આપીને રોકાણના નામે રુપિયા પડાવતા હતો. પોલીસને બંનેની સાઇટ પરથી 4500 કસ્ટમર આઇડી મળી છે. સાયબર ક્રાઇમની ટીમને બાતમી મળી હતીકે,મોટા વરાછા ઓપેરા બિઝનેસ હબમાં હેલ્થ કેરની આડમાં રોજ 0.5 ટકાનું વળતર આપવાની કે મહિને 10 ટકા વળતરની લાલચ આપીને 24x7 કલબની વેબસાઇટ કસ્ટમરની આઇડી બનાવી તેના પર રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી શૈલેષ નટુભાઇ ધામલિયા (રહે, સુમન પ્રયાગ ડી માર્ટની પાછળ વરાછા)ને પકડી પાડ્યો હતો. જ્યારે તેણે આ છેતરપિંડીની સ્કિમમાં દિપક ભુપત ડોબરીયા (રહે, શ્યામ પેલેસ એપાર્ટમેન્ટ નાના વરાછા) તેની સાથે હોવાની કબુલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરીને પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ, ડાયરીઓ અને અન્ય દસ્તાવેજો મળી કુલ રૂ.1.47 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યા હતો. જ્યારે આ સ્કિમનો માસ્ટરમાઇન્ડ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા રાહુલ ભીમાણી હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ નેટવર્કપુછપરછમાં દિપકે કંપનીનું દુબઇથી સંચાલન થતું હોવાનું જણાવ્યું હતું. જાન્યુઆરી 2025થી તે આમાં જોડાયો હતો અને રોજના 0.5 ટકા અને મહિને 10 ટકા વળતરની લાલચ આપીને રોકાણ કરાવતા હતા. જેનું કમિશન મળતું હતું. મલ્ટી લેવલ માર્કેટિંગ સિસ્ટમથી આ ધંધો કરતા હતા. સુરત સહિત ગુજરાતમાં અન્ય સ્થળે પણ ઓફિસ ખોલીને ચીટિંગ કરતા હતા.
ભાસ્કર એક્સક્લૂસિવ:દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે કચ્છમાં એક જ વર્ષમાં ટાઇફોઇડના 50 ટકા કેસ ઘટ્યા !
એક તરફ ગાંધીનગરમાં ટાઈફોઇડના કેસોએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સરહદી જિલ્લો કચ્છ આરોગ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ રાહતજનક આંકડા સામે આવ્યા છે. કચ્છ જિલ્લામાં ટાઈફોઇડના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું આરોગ્ય વિભાગના આંકડાઓ પરથી સામે આવ્યું છે. વર્ષ 2024માં જિલ્લામાં કુલ 360 ટાઈફોડના કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2025માં આ આંકડો ઘટીને માત્ર 178 કેસ સુધી સીમિત રહ્યો છે. એક જ વર્ષમાં અડધાથી વધુ ઘટાડો થવો આરોગ્ય વિભાગ થયેલી કામગીરીની મોટી સફળતા દર્શાવે છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન પીવાના પાણીની સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને પાણીમાં નિયમિત રીતે ક્લોરીનેશનની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. જિલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આશા વર્કરો દ્વારા ઘરે ઘરે જઈ પાણી શુદ્ધિકરણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે અને ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, માત્ર ઘરગથ્થુ સ્તર પર જ નહીં પરંતુ જ્યાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તેવા પાણીના ટાંકા, ઓવરહેડ ટાંકા તેમજ મુખ્ય સંપ પર પણ નિયમિત ક્લોરીનેશનની કાર્યવાહી કરવામાં આવી છે. આ પગલાંઓના કારણે પીવાનું પાણી વધુ સુરક્ષિત બન્યું છે, જેના સીધા લાભ રૂપે ટાઈફોઇડ જેવા પાણીજન્ય રોગોમાં ઘટાડો નોંધાયો છે.આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા, શુદ્ધ પાણી અને સમયસર સારવાર અંગે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ટાઈફોઇડ થવાના મુખ્ય કારણોટાઈફોઇડ રોગ મુખ્યત્વે અશુદ્ધ પાણી અને દૂષિત ખોરાકના કારણે ફેલાય છે. પીવાનું પાણી જો સ્વચ્છ ન હોય અથવા તેમાં ગંદકી મિશ્રિત હોય તો ટાઈફોડ થવાનો ખતરો વધી જાય છે. રસ્તા પર મળતા ખુલ્લા ખોરાક, ચાટ, પાણીપુરી, આઈસક્રીમ જેવા ખાદ્ય પદાર્થો જો સ્વચ્છતા વિના બનાવવામાં આવ્યા હોય તો તેમાં રહેલા જીવાણુઓ શરીરમાં પ્રવેશી ટાઈફોડનું કારણ બની શકે છે. વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ પણ ટાઈફોડનું મહત્વપૂર્ણ કારણ છે. ખોરાક તૈયાર કરતા કે ખાતા પહેલા હાથ સ્વચ્છ ન રાખવાથી ચેપ ફેલાય છે.ગંદા પરિસરમાં રહેવું, ગંદુ થવા ગટર મિશ્રિત પાણીનો ખોરાક માટે ઉપયોગમાં લેવાથી પણ ટાઈફોડના જોખમને વધારે છે. ટાઈફોડગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી અથવા તેની ઉપયોગમાં લીધેલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ ચેપ ફેલાઈ શકે છે.
મંડે મેગા સ્ટોરી:દિવસે નળ સર્કલથી માધાપર : રાત્રે રેલડી બન્યું ‘ટ્રાફિક જંકશન’
દસ-દસ વર્ષની લાંબી હાડમારી વેઠ્યા બાદ ભુજવાસીઓને ભુજોડી ઓવરબ્રિજની ભેટ મળી અને ટ્રાફિકમાંથી મુક્તિનો શ્વાસ લીધો. પરંતુ આ રાહત ક્ષણજીવી નીવડી હોય તેમ લાગી રહ્યું છે. ભુજોડીનો ટ્રાફિક હળવો થયો ત્યાં હવે ભુજ અને માધાપરના પ્રવેશદ્વારો પર નવી ટ્રાફિક સમસ્યાએ માથું ઊંચક્યું છે. ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ વચ્ચે હવે શહેરીજનોને ભુજોડી નહીં, પણ માધાપર અને રેલડી ફાટકનો ટ્રાફિક રડાવી રહ્યો છે. આડેધડ પાર્કિંગે રસ્તો સાંકડો કર્યોમાધાપરમાં પ્રવેશતા જ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે. અહીં સૌથી મોટી સમસ્યા આડેધડ પાર્કિંગ અને દબાણો છે. મુખ્ય માર્ગ પર દુકાનોની આગળ વાહનોના ખડકલા અને લારી-ગલ્લાના દબાણોને કારણે ફોર-લેન જેવો રસ્તો સાંકડી ગલીમાં ફેરવાઈ ગયો છે. ખાસ કરીને રવિવારી બજાર ભરાય છે ત્યારે તો અહીંથી પસાર થવું દુષ્કર બની જાય છે. ભૂતકાળમાં ગટર લાઈનની કામગીરીને કારણે દિવસો સુધી વન-વે રહેલા આ રોડની બંને બાજુએ હજુ પણ માટીના થર જામેલા છે, જે દૂર ન કરાતા રોડની પહોળાઈ ઘટી ગઈ છે અને ધૂળની ડમરીઓ ઉડે છે તે અલગ. સર્કલ નાનું કર્યું પણ સમસ્યા મોટી થઈમાધાપરમાં પ્રવેશતી વખતે પોલીસ ચોકી પાસેનો પોઈન્ટ હવે અકસ્માત અને જામનું કેન્દ્ર બન્યો છે. અગાઉ અહીં ગંભીર અકસ્માતો થયા બાદ અહીંનું સર્કલ નાનું કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વાહનોની સતત અવરજવરને કારણે સમસ્યા યથાવત છે. ભારે વાહનો જ્યારે અહીંથી ટર્ન લે છે ત્યારે ટ્રાફિક અટકી પડે છે. પીક અવર્સમાં અહીં લાંબી લાઈનો લાગે છે. સ્થાનિકોના મતે, જ્યારે ફરિયાદો થાય ત્યારે જ પોલીસ ટ્રાફિક નિયમન માટે દેખાય છે. પોલીસ ચોકીથી નળ સર્કલ વચ્ચેના સર્વિસ રોડ પર પણ વાહનો ઊભા રહી જતા વારંવાર રોડ બ્લોક કરી દેવામાં આવે છે, જેના કારણે મુખ્ય રોડ પર ભારણ વધે છે. બીજો ભુજોડી બ્રિજ’ બની ગયોહાલમાં ભુજવાસીઓ માટે સૌથી મોટી ચિંતાનો વિષય રેલડી ફાટક છે. સ્થિતિ એવી છે કે લોકો આને ‘બીજો ભુજોડી બ્રિજ’ ગણાવી રહ્યા છે. દિવસભર તો ઠીક, પણ રાત્રે 10 વાગ્યા પછી અહીં સ્થિતિ વણસે છે. રાત પડતા જ ભારે અને ઓવરલોડ વાહનોની કતારો અહીં જામી જાય છે. ફાટકની રચના જ એવી છે કે ક્રોસિંગ ત્રાંસુ છે અને બાજુમાં જ ટર્ન છે. જેના કારણે મોટા વાહનો સામસામે આવી જાય તો ફસાઈ જાય છે. ફાટક બંધ થયા બાદ જેવું ખુલે કે તરત જ ઉતાવળિયા વાહનચાલકો રોંગ સાઈડમાં ઘૂસી જાય છે, પરિણામે બંને બાજુનો ટ્રાફિક લોક થઈ જાય છે. વાહનચાલકો અહીં રાત્રિના સમયે 10થી 15 મિનિટ સુધી અટવાઈ રહ્યા છે.
ભરતી:બીએમસીમાં હેડ ક્લાર્ક સહિતની 9 જગ્યાઓ પર ભરતી
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા વિવિધ 9 જગ્યાઓ ભરવા ટેકનિકલ અને વહીવટી પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (મેકેનિકલ/ઈલેક્ટ્રિકલ), ટેકનિકલ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક/ઇન્સ્પેક્ટર, સિનિયર ક્લાર્ક તેમજ લેબ ટેકનિશિયન જેવી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો 29 જાન્યુઆરી 2026ની સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. જે બાદ ઉમેદવારોએ પોસ્ટ ઓફિસ મારફતે નિયત ફી ચૂકવવી જરૂરી રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 2 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવી છે. ભરતી જાહેરાત મુજબ એન્જિનિયરિંગ સંબંધી હોદ્દાઓ માટે સંબંધિત શાખામાં ડિગ્રી અથવા ડિપ્લોમા આવશ્યક છે, જ્યારે ક્લાર્ક કેડરના હોદ્દાઓ માટે ગ્રેજ્યુએશન સાથે કમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત ગણાશે. લેબ ટેકનિશિયન પદ માટે લેબ ટેકનોલોજીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા જરૂરી રહેશે. દરેક હોદ્દા માટેની ઉંમર મર્યાદા, પગાર ધોરણ અને અનામત બાબતેની વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર જાહેરાતમાં આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને ઓનલાઈન અરજી ફોર્મમાં તમામ વિગતો સાચી રીતે ભરવાની સલાહ અપાઇ છે.
ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે 9થી 12 જાન્યુઆરી, દરમિયાન દરમ્યાન સરસાણા ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો– સીટમે 2026’ યોજાયું છે, જેને દેશભરમાંથી બાયર્સ, ટ્રેડર્સ અને વેપારીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સીટમે પ્રદર્શનમાં પ્રથમ દિવસથી જ બાયર્સનો ધસારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે 7082 બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જ્યારે બીજા દિવસે 11786 બાયર્સે એકઝીબીશનની વિઝીટ કરી હતી. દરમ્યાન આજે રવિવારના રોજ ત્રીજા દિવસે 15280 વિઝીટર્સ મળી ત્રણ દિવસમાં 34148 બાયર્સ, ટ્રેડર્સ અને વેપારીઓએ સીટમેની મુલાકાત લીધી છે. રવિવારના દિવસે ૧પ હજારથી વધુ બાયર્સ અને વિઝીટર્સે સીટમે એકઝીબીશનની મુલાકાત લીધી હતી, જેને કારણે એમ્બ્રોઇડરી સહિત ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરનારા એકઝીબીટર્સને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દેશભરમાંથી આવેલા બાયર્સ સાથે એકઝીબીટર્સે વન–ટુ–વન બિઝનેસ મીટિંગ્સ કરી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં ઇન્કવાયરીઝ જનરેટ થઈ છે, જે આવનારા દિવસોમાં ઓર્ડર્સમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ ત્રણ દિવસ દરમિયાન સુરત બહારના 3808 બાયર્સે મુલાકાત લીધી હતી. સુરત ઉપરાંત અમદાવાદ, દિલ્હી, નાગપુર, હૈદરાબાદ, મુંબઇ, પંજાબ, હાવડા, લુધિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પાણીપત, તિરૂપતિ, ગાઝીયાબાદ, પંઢરપુર, બેંગલુરુ, ફરીદાબાદ, નોઇડા, ચેન્નઇ, વૃંદાવનના વિઝીટર્સે સીટમે એકઝીબીશનની મુલાકાત લીધી હતી, આજે સવારે 10થી સાંજે 7 સુધી પ્રદર્શન ચાલશે‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો– સીટમે 2026’ એકઝીબીશનમાં 66 એકઝીબીટર્સે ભાગ લીધો છે અને એમ્બ્રોઇડરી મશીનરીની 100 જેટલી બ્રાન્ડની 200થી વધુ મશીનરીઓ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. સોમવાર, 12 જાન્યુઆરીએ પણ સવારે 10થી સાંજે 7 કલાક દરમ્યાન આ પ્રદર્શનની મુલાકાત લઇને અદ્યતન ટેકનોલોજીની ટેક્ષ્ટાઇલ મશીનરીઓને જોઇ શકાશે.
જ્ઞાનોત્સવ 2026:ઐતિહાસિક રાષ્ટ્રીય કર પરિસંવાદનો પ્રારંભ
સોસાયટી ફોર ટેક્સ એનાલિસિસ એન્ડ રિસર્ચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો., સુરતના સહયોગથી અને સધર્ન ગુજરાત ઇન્કમ ટેક્સ બાર એસો.ના આધાર સાથે, બે દિવસીય પ્રીમિયર રાષ્ટ્રીય કર પરિસંવાદ રવિવારે શરૂ થયો હતો. આ ઉચ્ચ પ્રભાવશાળી જ્ઞાન સંમેલન દેશભરના અગ્રણી કર અને કાનૂની નિષ્ણાતો, ન્યાયાધીશો, ટ્રિબ્યુનલ સભ્યો અને વ્યાવસાયિકોને એકત્રિત કરી રહ્યું છે જેથી કરવેરા, વિવાદ અને ટેકનોલોજીના સૌથી સમકાલીન અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરી શકાય. આ પરિસંવાદ 10 અને 11 જાન્યુઆરીના રોજ પંચવટી હોલ, અગ્રસેન ભવન, સિટી લાઈટ રોડ, ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે મુખ્ય અતિથિ ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી. કારિયા ગુજરાત હાઇ કોર્ટ વિશિષ્ટ અતિથિ રાજેશ જૈન ન્યાયિક સભ્ય, GST અપિલેટ ટ્રિબ્યુનલ હાજર રહેશે. નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 સામે જુના ઇન્કમ ટેક્સ એક્ટ 1961 પર ઊંડાણપૂર્વકના સત્રો વિદેશી એકાઉન્ટિંગ પ્રેક્ટિસ શરૂ કરવી અને તેનો વિસ્તાર કરવો ઇન્કમ ટેક્સ વચ્ચેનો આંતરસંબંધ વ્યવહારુ દૃષ્ટિકોણ વિવાદ પ્રબંધન શું કરવું અને શું ન કરવું, અરજીઓ, ક્રોસ ઓબ્જેક્શન, અપીલના વધારાના આધાર GST અપિલેટ ટ્રિબ્યુનલ નિયમો અને પ્રક્રિયાઓ અંગે સંપૂર્ણ વ્યવહારુ માર્ગદર્શન વિવાદ અને કર પ્રેક્ટિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અમલ અગે ચર્ચા કરવામાં આવશે.
શહેરમાં એક સમયે સુરતના વર્ષ 2006ના વિનાશક પુર અને એ પહેલા તેમની તમામ ભેંસ ગુમાવી દીધા બાદ બચેલા પશુઘન માટે દાણ ખરીદવાના પણ પૈસા ન હતા અને લોકોને આજીજી કરવાની સ્થિતિમાં મુકાયેલા રણછોડભાઈ ભડીયાદરા ( દાજી ) હવે પોતાની બે પુત્રી સાથે ભરવાડ, આહિર અને રબારી સમાજની 67 દિકરીઓના પિતાતુલ્ય બનીને પરણાવશે. દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના આગામી સમૂહલગ્નના મુખ્ય દાતા રણછોડભાઈ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. જે વ્યક્તિએ ક્યારેક પોતાના પરિવારના લગ્ન પ્રસંગો માટે દાગીના વેચવા પડ્યા હતા, તે જ વ્યક્તિ આજે કરોડોના ખર્ચે 67 દીકરીઓને ધામધૂમથી પરણાવી રહ્યા છે. તેઓ 11 વર્ષની ઉંમરે મુંબઈ ગયા અને ત્યાંથી દમણ, નવસારી, પલસાણા, બારડોલી અને કામરેજ જેવા અનેક વિસ્તારોમાં ભટકવું પડ્યું. માત્ર 4 ચોપડી ભણીને પશુપાલન અને 10 વર્ષ સુધી ટેમ્પો ચલાવી તેમણે પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. જયારે કુદરતે લીધેલી આકરી કસોટીમાં તેમના જીવનમાં બે એવા આઘાત આવ્યા જે કોઈપણ માણસને તોડી નાંખે. 1985માં આવેલ ઓરીના રોગચાળામાં તેમની 20 દૂધ આપતી ભેંસો મરી ગઈ હતી અને અજાણ્યા વિસ્તારમાં ખાવાના ફાંફા પડ્યા હતા. રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો બહાર બેસી પશુઓના આહાર માટે વેપારીઓને આજીજી કરવી પડતી હતી. તેમજ 2006માં સુરતમાં તાપી નદીમાં આવેલી રેલની કુદરતી આફતે તેઓની 75 ભેંસો છીનવી લીધી હતી ત્યારે આર્થિક રીતે તેઓ સાવ તૂટી ગયા હતા. પરંતુ તેમણે હાર્યા વીના ફરી કાચા ઘર બનાવીને જીવન શૂન્યથી શરૂ કર્યુ હતું. પોતાની દીકરીઓના પણ સમૂહમાં લગ્ન કરશેઆ પ્રસંગની સૌથી મોટી વાત એ છે કે, રણછોડભાઈ પોતાની બે દીકરીઓને પણ આ જ સમૂહલગ્નમાં પરણાવશે. આજદિન સુધી કોઈ મોટા દાતાએ આવો દાખલો બેસાડ્યો નથી. 51 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય પાર્કિંગ અને કાર્યક્રમ યોજશે,અંદાજે 50,000 લોકોની હાજરીની શક્યતા છે. કબાટ, બેડ, વાસણો સહિત 75થી વધુ જીવનજરૂરી વસ્તુઓ દરેક દીકરીને ભેટ અપાશે. દાજીએ જણાવ્યું હતું કે બેચરદાદા ગમારા, સુરાભાઈ પુનાભાઈ ભરવાડ, સાજણભાઈ બુધેલિયા ભાવનગર અને ગગુદાદા ભૂરખી જેવા સમાજસેવકોની પ્રેરણાથી આ યજ્ઞ શરૂ થયો છે. 11 દીકરી પરણાવવાની માતાપિતાની ઇચ્છા પૂર્ણ થશેમાતા પિતાનું સપનું પૂર્ણ કરાશે રણછોડભાઈના મા-બાપની ઈચ્છા હતી કે તેઓ 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવે. મા-બાપની હયાતીમાં આ સપનું પૂરું ન થઈ શક્યું, પણ આજે વ્યવસાયમાં મળેલી સફળતા બાદ, દાજી આગામી તા. 25મીના રોજ 67 દીકરીઓ (65 ભરવાડ, 2 આહિર-રબારી)ની દીકરીઓ પરણાવી રહ્યા છે.
ઉત્તરના બર્ફિલા પવનની અસર:14 ડિગ્રી સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ, ઉત્તરાયણ પર પારો 12 ડિગ્રી થઈ શકે
સુરત સહિત રાજ્યભરમાં શિયાળો હવે પિક પર પહોંચી રહ્યો છે. શનિવારે લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયા બાદ રવિવારે 14 ડિગ્રી સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ નોંધાઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીના રોજ ઠંડીનું જોર હજુ વધશે. ઉત્તરાયણ દરમિયાન લઘુતમ તાપમાન વધુ બે ડિગ્રી ગગડીને 12 ડિગ્રી સુધી સરકી જવાની શક્યતા છે, જેથી પતંગબાજોને સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાનમાં 30.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 2.3 ડિગ્રીનો વધારો અને લઘુતમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો થયો હતો. દિવસના તાપમાનમાં વધારો થવા છતાં રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની ગતિ સરેરાશ 6 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ત્યાંથી આવતા બર્ફિલા પવનથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પવનની ગતિ યથાવત રહેશે તો ઉત્તરાયણમાં પતંગબાજી માટે સાનુકૂળ વાતાવરણ જળવાઈ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી ઠંડીનું જોર રહેશે, જેમાં લઘુતમ તાપમાન 15થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. જો કે, ઉત્તરાયણ સુધીમાં રાત્રિના તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ પારો 12 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.
બીચ ફેસ્ટિવલમાં ઊમટ્યું માનવ મહેરામણ:બીચ ફેસ્ટિવલમાં 4.50 લાખ લોકો આવ્યા, AI કેમેરાથી ગણતરી કરાઈ
સુરત | પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્રએ 9થી 11 જાન્યુઆરી ‘સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. રવિવારે છેલ્લા દિવસે 2.50 લાખ લોકોએ બીચ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી, જ્યારે પહેલા દિવસે 65 હજારથી વધુ અને બીજા દિવસે 1.50 લાખથી વધુ મુલાકાતીઓ હતા. ત્રણ દિવસમાં 4.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે ફેસ્ટિવલમાં ભીડના વ્યવસ્થાપન અને સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેના દ્વારા સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' કરવામાં આવ્યું હતું.
ભાસ્કર નોલેજ:ભરૂચમાં છેલ્લા સાત વર્ષમાં પતંગનીદોરીથી 156 પક્ષીઓના મોત નિપજ્યાં
ભરૂચમાં પતંગની દોરીથી છેલ્લા સાત વર્ષમાં 982 પક્ષી ઇજાગ્રસ્ત અને 156 થી વધુ પક્ષીઓના મોત થયા હતા. વર્ષ 2025 માં સૌથી વધુ 36 પક્ષીઓના મોત અને 142 ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર અપાઈ હતી. ઉત્તરાયણ પર્વમાં પતંગ ઉડાડવાની મજા છે પરંતુ દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય નહીં તેની સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બન્યું છે. છેલ્લા સાત વર્ષમાં 982 પક્ષીઓ ઇજાગ્રસ્ત, 156ના મૃત્યુ અને 826 ને સારવાર કરી મુક્ત કરવામાં આવ્યા હતા. ડીએફઓ ભાવના દેસાઈએ અપીલ કરતા કહ્યું કે, દોરીમાં વધુ કાચનો આગ્રહ લોકોએ ટાળવો જોઈએ, રાત્રિના સમય ટુક્કલ ચઢાવી જોઈએ નહીં, ફટાકડા પણ ના ફોડવા જોઈએ. સવાર 9 થી સાંજના 5 વાગ્યે પતંગ ચગાવવા હિતાવહ છે. પર્વમાં ઘાયલ પક્ષીઓને સારવાર મળે તે માટે હેલ્પલાઈન નંબર અચૂક ઉપયોગ કરવો, પક્ષીને લોહી નીકળતું હોય તે જગ્યાએ રૂ મૂકી ને સારવાર કેન્દ્રમાં લઇ જવું જોઈએ. દોરીના ગૂંચળા કે કોઈ પણ જગ્યાએ લટકતી દોરીઓ દૂર કરાય તો પક્ષીઓને ઇજાગ્રસ્ત થતાં બચાવી શકાશે. ઉલેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓ ઘાયલ નથી થાય તે માટે ચાઇનીસ દોરી ના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ કોઈ જગ્યાએ પતંગની દોરી વૃક્ષ કે અન્ય જગ્યાએ જોવા મળે તો શક્ય હોય તો તેને હટાવી લેવું જોઈએ તેથી ઉડીને આવતા પક્ષીઓ તેમાં ભેરવાઈ નહીં અને ઇજા થતાં બચાવી શકાશે. ઉતરાયણ દરમિયાન ઘાયલ થયેલાપક્ષીઓની સારવાર માટે ટીમ તૈયારજિલ્લામાં કરુણા અભિયાન 1962 હેલ્પ લાઇનની 4એમ્બ્યુલન્સ જ્યારે ભરૂચ શહેરમાં 1 એમ્બ્યુલન્સકાર્યરત છે. જિલ્લામાં 28 અને શહેરમાં 9 કલેક્શનસેન્ટર અને 8 સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે. ઘાયલપક્ષીઓની સારવાર માટે 15 તબીબો તેમજ 55 જેટલાવનકર્મીઓ જોડાશે, સાથે 11 બિન સરકારી સંસ્થાઓપણ સહભાગી બનશે. ભરૂચ શહેરમાં 49 તેમજજિલ્લામાં 101 સેવાભાવી સ્વયંસેવકો પણ જોડાશે. ઘાયલ પક્ષીઓ જોવા મળે તો સંપર્ક કરોઘાયલ પક્ષીઓ જોવા મળે તો વન વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલ કરૂણા હેલ્પલાઇન વોટ્સએપ નંબર 8320002000 તેમજ વન વિભાગ હેલ્પલાઇન નંબર-1926 અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962 ઉપર જાણ કરવું.
લૂંટારુંઓ હેલ્મેટ અને માસ્ક પહેરીને જ્વેલર્સમાં લૂંટ કરે છે, જેથી આવી ઘટના રોકવા ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશને જ્વેલર્સને સૂચના આપી છે કે, ‘હેલ્મેટ અને માસ્ક પહેરીને આવતા ગ્રાહકો પર દુકાનમાં પ્રવેશ સામે પ્રતિબંધ મુકો’ તાજેતરના સમયમાં દેશનાં વિવિધ શહેરોમાં જ્વેલરી દુકાનોમાં બનેલી લૂંટ સહિતની ગુનાહિત ઘટનાઓમાં આરોપીઓએ હેલ્મેટ અને ચહેરો ઢાંકતી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવી હોવાનું સામે આવ્યું છે. આવા બનાવોને અટકાવવા અને દુકાનોમાં સુરક્ષિત વ્યવસાયિક વાતાવરણ ઊભું કરવા માટે આ સૂચના અમલમાં મૂકવામાં આવી છે. નવી સૂચના અનુસાર, ગ્રાહકોને જ્વેલરી દુકાનમાં પ્રવેશ કરતા પહેલાં હેલ્મેટ, માસ્ક અથવા અન્ય કોઈપણ ચહેરો ઢાંકતા સાધનો દૂર કરવા વિનંતી કરવામાં આવશે. સાથે જ દુકાન માલિકોને પ્રવેશદ્વાર પર સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવાની, CCTV કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવાની અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય ત્યારે પોલીસને તરત જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. IBJA ગુજરાત રાજ્ય પ્રમુખ નૈનેશ પચ્ચીગરએ કહ્યું હતું કે, ‘જ્વેલરી શોપમાં આવી ઘટનાઓ બની રહી છે, ત્યારે જ્વેલર્સો સચેત થઈને કામ કરી શકે અને આવી ઘટનાઓથી બચી શકે તે માટે સુચના આપવામાં આવી છે.
પાલિકાના અઠવા ઝોનના આરોગ્ય વિભાગે ભટાર અંબાનગર, સેકન્ડ વીઆઇપી રોડ અને અલથાણ કેનાલ રોડ સહિતના પોશ વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની 74 સંસ્થા પર તપાસ કરી હતી, જેમાં ઘણી જગ્યાએ ગંદકી અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન હોવાનું સપાટી પર આવ્યું હતું. તપાસ દરમિયાન વિભાગે 7 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કર્યો હતો. ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના માપદંડોમાં ગંભીર બેદરકારી દાખવનારી 10 દુકાનોને નોટિસ ફટકારી છે. એટલું જ નહીં, જેમાં વારંવાર સૂચના આપવા છતાં સુધારો જોવા મળ્યો નહોતો, તેવી 6 દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગની આ ઝુંબેશ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ સંસ્થા પાસેથી કુલ 54 હજાર રૂપિયાનો દંડ વસૂલાયો હતો.
મંડે પોઝિટીવ:ભરૂચમાં મૂકબધિર અને ધીમું શીખનાર છાત્રોનેઇશારા તેમજ દ્રશ્યની પદ્ધતિથી શિક્ષણ અપાશે
જીજ્ઞેશ વસાવામુકબધિર અને ધીમુ શીખનારા છાત્રોને ઇશારા તથા દ્રશ્ય પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે.રાજયમાં પ્રથમ વખત ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ભરૂચમાં દિપમાલા પ્રોજેકટ અમલી બનાવાયો છે.પ્રથમ તબકકામાં ગણિત અને વિજ્ઞાન વિષયને આવરી લેવામાં આવ્યાં છે. ભરૂચ જિલ્લામાં મૂકબધિર, અંધ, ધીમું શીખનાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે દિપમાલા પ્રોજેક્ટ શરૂ કર્યો. રાજ્યમાં પહેલી પહેલ ભરૂચ જિલ્લાના શિક્ષણ વિભાગે કરી છે. આ પ્રોજેક્ટમાં એક વિષય શિક્ષક બોર્ડના માધ્યમથી અભ્યાસ કરાવશે. ત્યારે તેને અનુરૂપ અન્ય શિક્ષક ઈશારાથી મૂકબધીર વિદ્યાથીઓને સમજાવશે. તેવા વિડિયો બનાવી શોસયલ મિડીયા માં મૂકવામાં આવી રહ્યા છે. તેથી તમામ મૂકબધીર, અંધ,ધીમું શીખનાર વિદ્યાથીઓને તેનો લાભ મળશે. દિપમાલા પ્રોજેક્ટ અંતર્ગત વિષય સરસ બનાવવાશે અને છાત્રો વધુ માર્ક પરીક્ષામાં લાવી શકશે. આમ જેમ શિક્ષકો શાળામાં છાત્રોને અભ્યાસ કરાવતા હોય તેના કરતાં ધીમી રીતે છાત્રોને સમજાવવામાં આવશે. તેથી જે છાત્રોને સમજવામાં ઘણી વાર લગતી હોય છે. તેવા બાળકોને પણ સમજ પડી જશે. શિક્ષણ અધિકારીના આયોજન મુજબ પહેલા શિક્ષકોએ મૂકબધિર શાળાએ જઈને એક એક પિરિયડ ભર્યો અને જોયું કે સાઇન લેંગ્વેજના શિક્ષકો કેવી રીતે છાત્રોને સમજાવે છે. પોતે એક એક પિરિયડ લીધો જેમાં શિક્ષક વિષય વસ્તુ બોલીને સમજાવે અને સાઇન લેંગ્વેજ ના શિક્ષક તેને સાઇન લેંગ્વેજ માં મુખ બધિર બાળકો સમજાવે છે. તેથી છાત્રો ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષય સરળતાથી સમજી શકે છે. મૂકબધિર છાત્રો માટે દિપમાલાપ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યોમુખ બધિર શાળા સંચાલકોએ મારી પાસે આવી તેઓએ જણાવ્યું હતું કે, સાઇન લેંગ્વેજ ના શિક્ષકો છે. ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષય કેવીરી ભણાવવું તેના કોઈ શિક્ષક નથી, મુખ બધિર બાળકો માટે સાઇન લેંગ્વેજ ના શિક્ષકો જોઈએ પણ એમને વિષય નથી આવડતું અને વિષય આવડે તેને સાઇન લેંગ્વેજ આવડતી નથી. તેથી તેના સમાધાન રૂપે દિપમાલા પ્રોજેક્ટ શરૂ કર્યો છે.{ સ્વાતિબા રાઓલ, જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ શાળા સિવાય વધારાના સમયમાં 10 થી 12 શિક્ષકોએ આયોજન કર્યુંભરૂચ જિલ્લાના 10 થી 12 જેટલા શિક્ષકોએ 2 મહિનામાં દિપમાલા પ્રોજેક્ટ શરૂ કર્યો. આ શિક્ષકોને તેમની શાળામાં રજા પાડ્યા વગર વધારાના સમયમાં પિરિયડ લઈને વીડીઓ રેકોર્ડિંગ કયું છે. જેમાં વિષય શિક્ષક ધીમી ધીમે ભણાવશે અને સાઇન લેંગ્વેજ ના શિક્ષક મૂક બધિર બાળકોને ઈશારાથી સમજાવશે. આનો લાભ અંધ, ધીમું શીખનાર છાત્રોને પણ થશે.
કતારગામ ઝોનમાં સુમન સ્કૂલના નિર્માણ પૂર્વે જ સ્થળ ફેરફાર મુદ્દે શરૂ થયેલા વિવાદ બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી અને વર્ક ઓર્ડર મેળવ્યા વગર જ નવા સ્થળે બાંધકામ શરૂ કરી દેવાયું છે. જેથી ભાજપના બે કોર્પોરેટરોના આંતરિક ડખા સપાટી પર આવ્યા છે. એટલું જ નહીં પણ રઘવાયા બનેલા એક કોર્પોરેટરે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆતની તૈયારી દર્શાવતા દોડધામ મચી ગઇ છે. સુમન સ્કૂલનો મુદ્દો હવે માત્ર સ્થળ ફેરફાર પૂરતો સીમિત ન રહી, નિયમભંગ, રાજકીય દબાણ અને પ્રશાસકીય બેદરકારીનો પણ મુદ્દો બન્યો હોવાનું સપાટી પર આવી રહ્યું છે. વૉર્ડ નં-7 કતારગામના કંતારેશ્વર મહાદેવ મંદિર રોડ પર મંજૂર સુમન સ્કૂલ માટે ટેન્ડર અને વર્ક ઓર્ડર સોંપાઈ ગયા બાદ રાજકીય દાવપેંચમાં હવે સ્થળ બદલીને વૉર્ડ નં-8ના ડભોલી ગાયત્રી મંદિર રોડ પર શિફ્ટ કરવા મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. નવા સ્થળે સુમન સ્કૂલનું નિર્માણ શરૂ કરતાં પહેલાં નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પણ લેવાઈ ન હતી. એટલું જ નહીં, પરંતુ વર્ક ઓર્ડર સોંપાયા વગર જ ડભોલીમાં બાંધકામ શરૂ કરી દેવા મુદ્દે હવે સ્ટેન્ડિંગ કમિટી ઝોનના અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગશે. વધુમાં વધુ લોકોને સ્કૂલનો લાભ મળે તે માટે સ્થળમાં ફેરફાર કરાયોવૉર્ડ નંબર- ડભોલીમાં સુમન સ્કૂલના નવા સ્થળની સ્થિતિ અંગે કોઈ માહિતી નથી પરંતુ શાળાનો વધુમાં વધુ લોકોને લાભ મળે તે માટે સ્થળ ફેરફાર કરાયો હતો અને આ પ્રક્રિયા માટે ધારાસભ્ય વિનોદભાઇ મોરડીયાએ પણ સુરત મહાનગર પાલિકા કમિશનરને લેખિત ભલામણ કરી હતી. > ચીમન પટેલ, કોર્પોરેટર, વૉર્ડ નંબર-8 (ડભોલી) વર્ક ઓર્ડર સોંપાયા બાદ સ્થળમાં ફેરબદલ કરી રહીશો સાથે અન્યાયકતારગામ વોર્ડમાં સુમન સ્કૂલની અત્યંત જરૂર હોવા છતાં વર્ક ઓર્ડર સોંપી દેવાયા બાદ સ્થળમાં ફેરબદલ કરીને સ્થાનિક રહીશો સાથે અન્યાય કરાયો છે. નવા સ્થળે ખસેડાયેલી સ્કૂલના બાંધકામ માટે હજી સુધી વર્ક ઓર્ડર પણ સોંપાયો નથી છતાં ઝોનના અધિકારીઓ રાજકીય દબાણમાં કાર્યવાહી કરતા નથી. > નરેન્દ્ર પાંડવ, કોર્પોરેટર, વૉર્ડ નં-7 હોસ્ટેલનું સ્થળ બદલવા મંજૂરી લેવાઈ હતી3 મહિના પહેલાં અલથાણમાં વુમન હોસ્ટેલના નિર્માણ સામે વિરોધ થતાં સ્થળ બદલવા નવી જગ્યા ફાળવતાં પહેલાં સ્ટેન્ડિંગની મંજૂરી લેવાઈ હતી. વળી, ડભોલીમાં વર્ક ઓર્ડર વગર બૅઝમેન્ટ અને ફાઉન્ડેશન માટે ખોદકામ કરાયું છે, પરંતુ ઉલેચાયેલી માટી ક્યાં ગઈ તે અંગે ઝોનના અધિકારીઓ સ્પષ્ટતા કરતા નથી. આથી કોર્પોરેટર પાંડવે હવે કલેક્ટરને રજૂઆત કરી રોયલ્ટી વસૂલવાની માંગ પણ કરી છે.
ભાસ્કર ફોલોઅપ:માધવાનંદજીના રૂમમાંથી મળેલું ચામડુ અને નખ નકલી હોવાનો વન વિભાગએ દાવો કર્યો
રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના મહંત માધવાનંદના રૂમમાંથી મળી આવેલાં કથિત વાઘના ચામડા અને નખ નકલી હોવાનો દાવો વન વિભાગે કર્યો છે. વાઘના ચામડા અને નખ પર કરાયેલાં પ્રાથમિક પરીક્ષણમાં તેના પરથી રંગ નીકળતો નહિ હોવાથી તે નકલી હોવાનું વન વિભાગ માની રહયું છે. જો કે ચામડા અને નખની ખરાઇ કરવા માટે નમૂનાઓ હૈદરાબાદ ખાતે આવેલી એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. તેના રીપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ચામડા અને નખ 1972-73ની સાલના હોવાનું માનવામાં આવી રહયું છે. માધવાનંદજી 1977માં અમેરિકા પણ ગયાં હતાં. તેઓ મુળ મધ્યપ્રદેશના વાયંક ગામના વતની હતાં અને અમદાવાદના ગીતામંદિરથી 40 વર્ષ પહેલાં ધર્મશ્વર મહાદેવ મંદિર ખાતે આવ્યાં હતાં. જુલાઇ 2025માં તેમના નિધન બાદ તેમના મકાનના ઉપરના માળે લોખંડની પેટીમાંથી 37 આખા અને ચાર ટુકડા મળી વાધના 41 ચામડા અને 133 નખ મળી આવ્યાં હતાં. નર્મદા વન વિભાગના ડીએફઓ અભય સિંહે જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમના ઉપલા માળ પરથી વન્ય પ્રાણીના ચામડા અને નખ મળી આવ્યા હતા એ પ્રાથમિક દૃષ્ટિએ નકલી છે.આ ચામડા અને નખની ચકાસણી બાબતે અમે હૈદરાબાદ ખાતે એફ.એસ.એલ ખાતે મોકલી અપાયા છે, જેનું પરિણામ આવતા ત્રણથી ચાર મહિનાનો સમયગાળો લાગી શકે છે.અમે જ્યારે ચામડા અને નખની જાત તપાસ કરી ત્યારે એનો કલર પણ નિકળતો ન્હોતો, એનો પ્રકાર પણ નક્કી નથી જણાતો એટલે અમને એ નકલી લાગે છે.છતાં અમે એફ.એસ.એલ માટે સેમ્પલ મોકલી અપાયા છે.
હરાજી:ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝનના 148 વાહનોની હરાજી કરાઈ, 19.27 લાખની આવક થઈ
ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડતર અને બિનવારસી હાલતમાં પડેલા વાહનોનો આખરે નિકાલ કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જાહેર હરાજીમાં કુલ 148 વાહનો વેચવામાં આવ્યા હતા, જેના દ્વારા સરકારને 19,27,000 ની માતબર આવક થઈ છે. ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડમાં ડીવાયએસપી જે ડી પુરોહિતની ઉપસ્થિત માં ધાંગધ્રા ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશન ના. અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ તેમજ કબજે કરેલ 130 ટુ વ્હીલર, 10 થ્રી વ્હીલર અને 8 ફોર વ્હીલર મળી કુલ 148 વાહનોની હરાજી રાખવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના 100 થી વધુ વેપારીઓએ ભાગ લીધેલ હતો અને કુલ રૂપિયા 19,27,000 ની બોલી બોલાવી આવક થયેલ છે. આમ લાબા સમય બાદ હરાજી કરવામાં આવી હતી.
પ્રજા ત્રાહિમામ:સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંધવારીનું વિરોધ પ્રદર્શન
સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતી દ્વારા મોંધવારીના વિરોધમાં રેલીનુ આયોજન કરાયુ હતુ.જેમાં તેલના ડબ્બા અને ગેસ સીલીન્ડર માં થતા શહેરના મુખ્ય માર્ગો પર ફરી સુત્રોચ્ચાર સાથે વધતી મોધવારીનો વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોઘવારી ના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વધતા તેલના ભાવ અને ગેસના ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને મુશ્કેલી રજૂ કરતો વિરોધ કાર્યક્રમ યોજયો હતો.જે જોરાવરનગર પસાર થઇ હતી. આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝરણાબેન જાનીએ જણાવ્યુ કે સરકાર એકતરફ જીએસટી ઘટાડી લોકોને ફાયદો કરયાની વાતો કરે છે બીજીતર મોંઘવારી, બેરોજગારી, સિંગતેલ, રાંધણ ગેસના ભાવ વધારા સામે પ્રજા ત્રાહિમામ હોય અને આ મોંઘવારીના કારણે મધ્યમવર્ગ અને ગરીબો તહેવારો પણ ઉજવીસકે તેમ નથ. જેથી બીજેપી સરકાર હાય હાય ના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.આ રેલીમં કોંગ્રેસ કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

31 C