સુરખેડા પાસે ST બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત:પાઇપ ભરેલા ટ્રેલર સાથે ST બસ અથડાઈ, કોઈ જાનહાનિ નહીં
છોટા ઉદેપુરના સુરખેડા ગામ પાસે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં એસટી બસ અને પાઇપ ભરેલા ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માત આજે 10 માર્ચે વહેલી સવારે 5.30 વાગ્યે થયો હતો. એસટી બસ છેવાડાના ફેરકુવા ગામથી છોટા ઉદેપુર પરત આવી રહી હતી. સુરખેડા પાસેથી પસાર થતી વખતે અચાનક એક વ્યક્તિ બસની સામે આવી ગઈ હતી. તેને બચાવવા માટે એસટી બસના ડ્રાઈવરે બસને રોંગ સાઈડ તરફ લીધી હતી. આ જ સમયે સામેથી મોટા પાઈપ ભરીને આવી રહેલું એક ટ્રેલર પણ બસને બચાવવા માટે રોંગ સાઈડ પર ગયું હતું. જોકે, એસટી બસ ટ્રેલરના પાછળના ભાગે પાઈપ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું. બસમાં સવાર મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. રંગપુર પોલીસ અને છોટા ઉદેપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને વાહનોને સાઈડ પર ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. આ બંને નગરપાલિકાઓમાં જે-તે વિસ્તારના પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 71 નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ-8 હેઠળ નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. આગામી સામાન્ય ચૂંટણીઓ બાદ નવી કારોબારી સમિતિની રચના ન થાય ત્યાં સુધી વહીવટી કામગીરી સુચારુ રાખવા માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ, નગરપાલિકાની પ્રથમ બેઠકથી પાંચ વર્ષની મુદત નિર્ધારિત હોય છે. રાજ્યની 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026માં પૂર્ણ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન નગરપાલિકાના રોજિંદા કાર્યો અને આવશ્યક સેવાઓ પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. પાટણ, સિદ્ધપુર નગરપાલિકામાં પ્રાંત અધિકારી વહીવટદાર પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં નિમાયેલા પ્રાંત અધિકારીઓ, વહીવટદાર તરીકે, ચૂંટાયેલી પાંખ દ્વારા અગાઉ મંજૂર કરાયેલા વિકાસલક્ષી કામોના વર્ક ઓર્ડર આપી શકશે. આ ઉપરાંત, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન અને સફાઈના સાધનો કે વાહનોના સમારકામ માટે નિયમાનુસાર ખર્ચ કરવાની મંજૂરી પણ તેમને આપવામાં આવી છે. વહીવટદારો કોઈપણ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીંસરકારના આદેશ અનુસાર, વહીવટદારો તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં. તેમની મુખ્ય જવાબદારી અગાઉની કારોબારી સમિતિ દ્વારા પસંદ કરાયેલા કામો અને નગરપાલિકાની અનિવાર્ય સેવાઓ જાળવી રાખવાની રહેશે. આ નિમણૂક આગામી ચૂંટણીઓ બાદ નવી બોડી અસ્તિત્વમાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. રાજ્યપાલના હુકમથી પ્રસિદ્ધ કરાયેલા આ આદેશ સાથે જ પાટણ અને સિદ્ધપુર સહિતની નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે.
અમદાવાદથી ગોરખપુર જતી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. ઉત્તર પૂર્વ રેલવેના ગોરખપુર કેન્ટ–ભટની સેક્શનમાં દેવરિયા સદર અને નૂનખાર સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને ઓરિજિનેટની વિગતરેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, 10 March 2026 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત સ્ટેશન ગોરખપુરને બદલે ભટની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે, આ ટ્રેન ભટની અને ગોરખપુર વચ્ચે દોડશે નહીં. તેવી જ રીતે, વળતી મુસાફરીમાં 11 March 2026 ના રોજ ટ્રેન નંબર 19490 ગોરખપુર–અમદાવાદ એક્સપ્રેસ ગોરખપુરને બદલે ભટની સ્ટેશનથી ઉપડશે (ઓરિજિનેટ થશે). આ ટ્રેન ગોરખપુર અને ભટની વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઓનલાઇન માહિતી ઉપલબ્ધમુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની ગોઠવણી અંગેની વધુ વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર સંપર્ક કરે. મુસાફરોએ તેમની મુસાફરીનું આયોજન આ ફેરફારને ધ્યાનમાં રાખીને કરવા સૂચના અપાઈ છે.
દમણમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચમાં 65 ડોલર પ્રતિ બેરલ હતું તે હવે 104 થી 119 ડોલર સુધી પહોંચી ગયું છે. તેમ છતાં, સંઘપ્રદેશ દમણમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ ઈંધણની અછત અંગેની અફવાઓને ફગાવી દીધી છે. દમણના પેટ્રોલ પંપો પર હાલ કોઈ અફરાતફરી કે લાંબી કતારો જોવા મળી રહી નથી. લોકો સામાન્ય રીતે ઈંધણ ભરાવી રહ્યા છે. દમણમાં પેટ્રોલ ₹92.37 પ્રતિ લિટર અને ડીઝલ ₹87.87 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. દમણના ઈ નાસેરવાનજી પેટ્રોલ પંપના સંચાલક અસ્પી દમણિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની મજબૂત કૂટનીતિ અને રશિયા તથા અમેરિકા તરફથી મળતા અવિરત સપ્લાયને કારણે દેશમાં હજુ સુધી કોઈ નકારાત્મક અસર પડી નથી. તેમણે પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં પેટ્રોલના ઊંચા ભાવ (400 થી 500 રૂપિયા) સાથે સરખામણી કરતા ભારતના પેટ્રોલિયમ મંત્રાલયની સપ્લાય જાળવી રાખવાની સફળતાને બિરદાવી હતી. દમણિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, જો ઈરાનની રિફાઇનરીઓ પર હુમલા વધશે અને યુદ્ધ લાંબુ ખેંચાશે તો ભવિષ્યમાં ભાવ વધારાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, હાલ દમણમાં કોઈ ચિંતાનું કારણ નથી. IOCL દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાતી ઈંધણની અછતની વાતોનું સખ્ત ખંડન કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્રએ પણ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર સ્ત્રોતોને જ સાચા માને.
બગવદર પોલીસે જુગાર રમતા 5 ઝડપ્યા, 2 ફરાર:પોરબંદરમાં કુલ 7 સામે ગુનો દાખલ, રોકડ જપ્ત
પોરબંદર જિલ્લાના બગવદર ખાતે પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેથી કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ₹16,350 /- રોકડા જપ્ત કર્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડિયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની બદી નાબૂદ કરવા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ અને પો.સબ.ઇન્સ. આર.જી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે આંબારામા ગામના ચોકની બાજુમાં આવેલી ગલીમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે કેટલાક શખ્સો જાહેરમાં પૈસા પાના વડે 'રોન પોલીસ' નામનો જુગાર રમી રહ્યા હતા, જેમને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં હમીર જીવાભાઈ પાંડાવદરા (ઉં.વ.50), જેઠા પરબતભાઈ ઓડેદરા (ઉં.વ.50), મુરુ રાણાભાઈ કેશવાલા (ઉં.વ.50), નૌઘણ બાબુભાઈ ઓડેદરા (ઉં.વ. 28) અને ભગત ઉર્ફે પરબત જીવાભાઈ ઓડેદરા (ઉં.વ.59) નો સમાવેશ થાય છે. આ તમામ આંબારામા અથવા હાથીયાણી ગામની દળ સીમના રહેવાસી છે. દરોડા દરમિયાન રાણા લખમણભાઈ ઓડેદરા અને રાણા રાજશીભાઈ મોઢવાડીયા (બંને રહે. આંબારામા) નામના બે શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે આ તમામ સાત આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન અમલમાં આવ્યું છે. આ નિર્ણય ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ, વિરમગામ નગરપાલિકાના વહીવટદાર તરીકે વિરમગામ પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ધોળકા નગરપાલિકાની જવાબદારી ધોળકા પ્રાંત અધિકારી સંભાળશે. જ્યારે બારેજા નગરપાલિકાના વહીવટદાર તરીકે ધોળકા મામલતદારને આગામી ચૂંટણી સુધીનું સૂકાન સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. તે પૂર્વે અમદાવાદ જિલ્લાની આ ત્રણ નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન લાગુ કરાયું છે.
આરોપી ઝડપાયો:નેતાને મરવા મજબુર કરનાર 18 પૈકી એક આરોપી પકડાયો
ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે ગત 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ચકચારી ઘટનામાં સ્યુસાઇડ નોટ, મરતા પહેલાં મૃતકે બનાવેલા વીડીયો અને મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે 14 વ્યાજખોર સહિત 18 સામે ફોજદારી નોંધાવાયા બાદ પોલીસે આ ચકચારી કેસમાં લોન અપાવી કમિશનની માગણી કરતા પ્રકાશ મોદીની અટક કરી લીધી છે. ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપી હતી કે, મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાું જણાવી સ્યુસાઇડ નોટ તેમજ મરતા પહેલા દિપેશે બનાવેલા વીડીયો પોલીસને સોંપ્યા બાદ 18 સામે ગુનો દાખલ કરી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જે દરમિયાન લોન કરાવી આપીને અડધી રકમ પોતે રાખી આર્થિક સંકડામણમાં વ્યથા આપનાર પ્રકાશ મોદીને પોલીસે પકડી લીધો હતો, જો કે હજી આ ચકચારી આત્મહત્યાના બનાવમાં અન્ય 17 લોકોને પકડવાના બાકી છે. ડીવાયએસપી ચૌધરીએ જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે.
ટોલ કંપની વિરૂદ્ધ ભભૂકી ઉઠ્યો રોષ:સુરજબારી ટોલનાકાની મનમાની, 15 ગામ નારાજ
કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજબારી ટોલપ્લાઝા ખાતે ટોલ કંપનીની મનમાની સામે સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વર્ષો બાદ ફરી એકવાર ટોલનાકાના પ્રશ્ને આસપાસના 15 જેટલા ગામોના લોકો અને સરપંચોએ એકજૂથ થઈને ટોલ કંપનીના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી છે. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે સામખિયાળી ટોલનાકાની તર્જ પર સુરજબારી ટોલ પર પણ સ્થાનિકોને એક રૂપિયાની ટ્રીપ વાળો પાસ બનાવી આપવામાં આવે. આ 15 ગામોના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ, ખાસ કરીને મોરબીની હોસ્પિટલો તથા અન્ય રોજિંદા કામકાજ અર્થે વારંવાર પોતાના ખાનગી વાહનો લઈને હાઇવે પરથી પસાર થવું પડે છે. આ અંગે જંગી, વાંઢિયા, ગોડપર, મોડપર, લઘધીરગઢ, નવા કટારિયા, જુના કટારિયા, શિકારપુર, નવાગામ, નારણસરી, સૂરજબારી અને જસાપર સહિતના ગામોના લોકોએ ટોલનાકે થતી ખોટી કનડગત સામે વિરોધ નોંધાવ્યો છે. ટોલ કંપની દ્વારા માસિક 350 રૂપિયાનો પાસ ઇસ્યુ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 15 ગામના લોકોએ તેનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો ટોલ કંપની પોતાનું જક્કી વલણ છોડીને સ્થાનિકોને સામખિયાળીની જેમ રાહતદરે પાસ નહીં આપે, તો આવનારા સમયમાં હજારોની સંખ્યામાં લોકો હાઇવે પર ઉતરી આવશે. આ રજૂઆત વેળાએ વાંઢિયાના સરપંચ કૃષ્ણદેવસિંહજી જાડેજા, શિકારપુરના સરપંચ દેસરાભાઈ, સૂરજબારીના સરપંચ સલીમભાઇ જેડા, જંગીના સરપંચ ગુલમામદ રાઉમા, નવા કટારિયાના સરપંચ બિહારીદાસ સાધુ, જુના કટારિયાના હેમુદાન ગઢવી સહિતના આગેવાનો રામજીભાઈ પટેલ, હીરા ભચુ કોળી, કાસમભાઈ ત્રાયા, રહીમભાઈ ત્રાયા, કાસમભાઈ સોલંકી, મમુભાઈ કોળી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રાજકીય માથાઓની 300 ટ્રકો મફત, તો 15 ગામની 300 કાર માટે જ નિયમો કેમ ?સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સુરજબારી ટોલ પરથી રાજકીય વગ ધરાવતા મોટા માથાઓની 300 કરતા વધારે ટ્રકો રોજેરોજ મફત પસાર થવા દેવામાં આવે છે. મોટા માણસો માટે ટોલનાકા પર કોઈ નિયમ નથી. જો રાજકીય લોકોની 300 ટ્રકો મફત નીકળતી હોય, તો આસપાસના 15 ગામોની 300 જેટલી સ્થાનિક કાર માટે જ સરકારી નિયમો શા માટે? માત્ર નાના માણસો માટે જ નિયમો કેમ તેવો સવાલ ઉઠાવી ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 10 માર્ચે બપોરે 3 વાગ્યા સુધીમાં નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકીસુરજબારી ટોલપ્લાઝાની આસપાસના 15 જેટલા ગામોએ ટોલ કંપની અને વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપતા ચીમકી આપી છે કે, આગામી 10 માર્ચના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં સુરજબારી ટોલનાકે NHAI ના અધિકારીઓ રૂબરૂ આવીને આ 15 ગામોના પ્રશ્નનું નિરાકરણ લાવે. જો નિર્ધારિત સમય સુધીમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો તમામ 15 ગામના લોકો હાઇવે પર ઉતરી આવીને ઉગ્ર ચક્કાજામ કરશે.
ભાસ્કર એનાલિસિસ:કચ્છમાં છેલ્લા 2 વર્ષથી લાપતા 14 બાળકોના વાલીઓ હજુ પણ પોતાના વ્હાલાઓની પ્રતીક્ષામાં
વિધાનસભાના બજેટ સત્રના બીજા ચરણમાં કચ્છ અને અમરેલી જિલ્લામાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલા બાળકો અને મહિલાઓ ગુમ થયા હતા તે બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં કચ્છ જિલ્લામાંથી કુલ 228 બાળકો ગુમ થયા હતા જેમાંથી 214 ને શોધી લેવાયા છે, જોકે છેલ્લા બે વર્ષથી ગુમ 14 બાળકોના વાલીઓ હજુ પણ તેની રાહમાં છે. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ આતાજી ઠાકોરે નાયબ મુખ્યમંત્રી(ગૃહમંત્રી)ને વિધાનસભાના સત્ર દરમિયાન કચ્છ અને અમરેલી જિલ્લામાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન ગુમ થયેલા બાળકો અને મહિલાઓ બાબતે સવાલ કર્યો હતો. જેમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ આપેલા જવાબ પ્રમાણે વર્ષ 2024-25 દરમિયાન કચ્છ જિલ્લામાંથી કુલ 228 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે બાળકોને શોધવા માટે તેના સગા સબંધીઓ તેમજ મળવાની શક્યતા હોય ત્યાં તપાસ કરવામાં આવી હતી. તેમજ અન્ય પોલીસ મથકોમાં ગુમ થનારનું ફોટા સહીતનું વર્ણન મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુમ થનારના મોબાઈલ લોકેશન મેળવવા, ચિલ્ડ્રન હોમ અને નારી સંરક્ષણ ગૃહમાં તપાસ, સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન અને ટેલિવિઝન-સમાચાર પત્રમાં પ્રસિદ્ધિ કરી મીશન વાત્સલ્ય પોર્ટલ પર વિગતો અપલોડ કરવામાં આવે છે. જેના આધારે ગુમ થયેલા 214 બાળકોને શોધી લેવામાં સફળતા મળી હતી. જોકે 14 બાળકોનું હજુ પણ કોઈ પત્તો મળ્યો નથી. બે વર્ષમાં જિલ્લામાંથી ગુમ થનાર બાળકોનો સૌથી વધુ આંકડો ગાંધીધામનો છે જ્યાંથી 77 બાળકો ગુમ થયા હતા જ્યારે ભુજમાંથી 51 બાળકો લાપતા થયા હોવાની ફરિયાદ થઇ હતી. આ ઉપરાંત નખત્રાણામાંથી-4, મુન્દ્રામાં-14, માંડવીમાં-11, અબડાસામાં-2, લખપતમાં-૩, અંજારમાં-39, ભચાઉમાં-18 અને રાપરમાંથી 9 બાળકો ગુમ થયાની ફરિયાદ થયેલી હતી. બે વર્ષમાં એકપણ મહિલા ગુમ નથી થઇ!વિધાનસભામાં બાળકો સહીત મહિલાઓ કેટલી ગુમ થઇ તે સવાલ પણ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આપેલા જવાબમાં આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન એકપણ મહિલા ગુમ થઇ હોય તેવી ફરિયાદ આવી ન હતી.
8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ હતી. ટીમ ઇન્ડિયા ફાઈનલમાં મેચ રમ્યા પહેલા મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે પહોંચી હતી. અને ટીમ ઇન્ડિયા પોતાની જીત બાદ પણ ટ્રોફી લઈને દાદાના ચરણોમાં દર્શન કરવા માટે પહોંચી હતી. દિવ્ય ભાસ્કરે હનુમાન ટેકરી દાદા મંદિરના મહારાજ ઈશ્વરદાસ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ફાઇનલ પહેલાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીર દર્શન આવ્યા ત્યારે અને પછી શું શું થયું તે અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત એક બાળકીને હનુમાનજી શ્રદ્ધાના આશીર્વાદ મળ્યા હતા. આ બાળકી સાથે પણ અમે વાત કરી હતી. આ અંગે મંદિરના મહારાજ ઇશ્વરદાસે જણાવ્યું હતું કે હું આ મંદિરમાં 2002થી સેવા આપી રહ્યો છું, આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. આ મંદિરના પહેલા ત્રણ સેવક હતા ત્યારબાદ હું અત્યારે ચોથા સેવક તરીકે સેવા આપી રહ્યો છું. 8 માર્ચે યોજાયેલી T-20 ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયા દર્શન કરવા માટે મંદિરે આવી હતી. ત્યારે દાદાએ તેમને દર્શન આપ્યા હતા. ‘મેચ પહેલા આશીર્વાદ લઈને ગયા હતા’ઇશ્વરદાસે આગળ જણાવ્યું કે, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીર જ્યારે આ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેઓ દર્શન કરીને દાદાના ચરણોમાં શિશ ઝૂકાવીને આશીર્વાદ મેળવીને ગયા હતા. અમે અમારી તરફથી મંદિરમા પૂજા અર્ચના કરી હતી. જોકે ટીમ ઇન્ડિયાની જીત બાદ પણ કેપ્ટન સૂર્ય કુમાર યાદવ ટીમ સાથે ટ્રોફી લઈને મંદિરે ફરીથી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ‘જય શાહ મહિને ત્રણ-ચારવાર દર્શન કરવા આવે છે’તેઓ મંદિરે આવ્યા ત્યારે તેમની સાથે જય શાહ પણ દર્શન કરવા આવ્યા હતા. જોકે જય શાહ તો જેટલી વાર અમદાવાદમાં આવે છે એટલી વખત મહિનામાં ત્રણથી ચાર વાર હનુમાન ટેકરી દાદાના દર્શને ચોક્કસ આવે છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. પોતાની માનતા બાધા અહીં પૂરી કરવા માટે આવતા હોય છે. પરી સ્કેચ સાથે સ્ટેડિયમે ઉભી રહી પણ ફેવરિટ ક્રિકેટરને મળી શકી નહીંહાર્દિક પંડ્યા, અક્ષર પટેલને મળવાની ઈચ્છા ધરાવતી 15 વર્ષની પરી પટેલે સૂર્ય કુમાર અને હાર્દિક પંડ્યાનો સ્કેચ બનાવ્યો હતો. તેણે મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સિક્યુરિટીના કારણે તે કોઈ ખેલાડીને મળી શકી ન હતી. હનુમાન મંદિરે પ્રાર્થના કરી ને બીજી જ મિનિટે હાર્દિક-સૂર્યા સામે દેખાયાત્યાર બાદ પરી પટેલ નિરાશ થઈને મોદી સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી મંદિરે ભગવાનને એ સ્કેચ બતાવવા માટે પહોંચી ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારે હાર્દિક પંડ્યા અને ટીમ ઇન્ડિયાને મળવું છે. જાણે હનુમાન દાદાએ કોઈ ચમત્કાર કર્યો હોય તેવા દ્રશ્યો બીજી જ મિનિટે જોવા મળ્યા. સ્કેચ પર ઓટોગ્રાફ પણ લીધોપરી પટેલ સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનના ત્રણ સ્કેચ લઈને મંદિરમાં ઉભી હતી ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હનુમાન ટેકરી મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને પરીના હાથમાં સ્કેચ જોઈને સૂર્યકૂમાર યાદવ અને હાર્દિક પંડ્યા ખુશ થઈને તેને મળ્યા હતા. માત્ર એટલું જ નહીં, સ્કેચ પર તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો. ઓટોગ્રાફ લીધા બાદ પરી બીજા દિવસે ફરી હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે સ્કેચ લઈને પહોંચી હતી. ત્યારે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પરી પટેલે જણાવ્યું હતું કે, મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. ભારત વર્લ્ડકપ જીતી ગયું, તેથી મને ખૂબ જ આનંદ થયો. ‘અમે જેવા અંદર ગયા, તુરંત જ હાર્દિક અને સૂર્યકુમાર યાદવ ત્યાં આવ્યા’હું હાલમાં 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. મને કોઈ ખ્યાલ નહોતો કે મને ઓટોગ્રાફ મળી જશે. મેં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં સુરક્ષા ખૂબ જ કડક હતી. પછી અમે હનુમાન મંદિરે દર્શન કરવા આવ્યા. અમે જેવા અંદર ગયા, તુરંત જ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ત્યાં આવ્યા. ત્યાંના ચાર પોલીસ કર્મચારીઓએ મને ખૂબ મદદ કરી, જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મેં આ પોટ્રેટ રાત્રે 11:30થી સવારના 5 વાગ્યા સુધીમાં બનાવ્યું છે. ‘મારો ફેવરિટ પ્લેયર હાર્દિક પંડ્યા છે’હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનના પોટ્રેટ બનાવ્યા છે. મારો ફેવરિટ પ્લેયર હાર્દિક પંડ્યા છે. મને પહેલા ક્રિકેટમાં એટલો રસ નહોતો, પણ હવે ઘણો વધી ગયો છે. હનુમાન ટેકરી મંદિરના મહારાજે મને ઘણા આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી કે મારી દરેક ઈચ્છા પૂરી થાય. અને ખરેખર એવું જ થયું. પરીને સૂર્યકુમાર અને હાર્દિકે શું કહ્યું?સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યાને મળીને તો ખુશી બહુ આવી ગઈ હતી. એમના ચહેરા પર પણ આનંદ તો છલકાઈ જ રહ્યો હતો. સાથે સાથે સૂર્યકુમાર યાદવે તો મને કહ્યું કે 'બહુત અચ્છા' અને હાર્દિક પંડ્યાએ કહ્યું કે 'બહુ સરસ બનાવ્યું છે'. જ્યારે હાર્દિક પંડ્યાએ મારી સાથે ગુજરાતીમાં વાત કરી ત્યારે મને વધારે મજા આવી ગઈ. ‘ટીમ ઇન્ડિયા પર ભગવાનના આશીર્વાદ તો હોય જ’જ્યારે મંદિરે દર્શન કરવા માટે આવેલી યુક્તિ ચાવડાએ જણાવ્યું હતું કે, હું અહીં 10 વર્ષથી આવું છું, નાની હતી ત્યારથી દાદાના દર્શન કરું છું.લાઈક મારા મમ્મી લોકો નાના હતા ત્યારનું આ મંદિર છે, એટલે બધાને બહુ જ શ્રદ્ધા છે. ટીમ ઇન્ડિયા પહેલાં આવી ત્યારે મને ખબર પડી હતી ત્યારે એવું જ હતું કે ટીમ ઇન્ડિયા જ જીતશે. પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે ઇન્ડિયા જ જીતશે, કારણ કે દર્શન કરવા આવી હતી એટલે ભગવાનના આશીર્વાદ તો હોય જ એમની ઉપર. અહીં ભગવાનના આશીર્વાદ પણ એમની ઉપર છે અને એવી રીતે જ આખી ટીમ જીતશે, ભગવાનના આશીર્વાદ હશે એટલે.
ભાસ્કર વિશેષ:કચ્છમાં 22,558 કિશોરીને સર્વાઈકલ કેન્સરની રસી અપાશે
કચ્છમાં મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને સરકાર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) સામે રક્ષણ આપતી એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ઝુંબેશ આગામી 31 મે સુધી કાર્યરત રહેશે, જે અંતર્ગત કિશોરીઓને બીમારી સામે રક્ષણ આપતી વેકસિન મૂકવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ, આ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ 22,558 લાભાર્થી કિશોરીની નોંધણી કરાઈ છે. અભિયાનના પ્રારંભિક તબક્કાથી અત્યાર સુધીમાં 494 દીકરીને રસીનો ડોઝ અપાયો છે. આ રસી ખાસ કરીને 14 વર્ષ પૂર્ણ અને 15મું વર્ષ ચાલતું હોય તેવી કિશોરીઓને આપવામાં આવી રહી છે. જિલ્લામાં રસીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે 96 કોલ્ડ ચેઈન સેન્ટરો કાર્યરત છે. લાભાર્થીઓ નજીકના સીએચસી, પીએચસી, યુએસસી અથવા જિલ્લા હોસ્પિટલ ખાતે જઈને નિઃશુલ્ક રસી મેળવી શકે છે. રસી આપ્યા બાદ ટેકો સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવે છે અને લાભાર્થીને ઓનલાઈન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, જે કિશોરીઓની વય 14 થી 15 વર્ષની વચ્ચે છે, તેમના વાલીઓએ જાગૃત બની નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. 31 મે સુધી ચાલનારા આ અભિયાનનો મહત્તમ લાભ લઈ જિલ્લાની દીકરીઓને કેન્સર મુક્ત ભવિષ્ય આપવા સહભાગી બનવું જોઈએ. ભાસ્કર નોલેજશા માટે એચપીવી રસી લેવી જરૂરી છે?ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં મહિલાઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. એચપીવી રસી આ કેન્સર સામે 90% થી વધુ સુરક્ષા આપે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આ રસી તબીબી રીતે સુરક્ષિત છે. સામાન્ય રસીની જેમ જ હાથ પર સ્નાયુમાં આપવામાં આવે છે. રસી લીધા બાદ ભાગ્યે જ કોઈને સામાન્ય તાવ અથવા જે જગ્યાએ રસી આપી હોય ત્યાં સામાન્ય દુખાવો કે સોજો આવી શકે છે, જે ટૂંકા સમયમાં આપોઆપ મટી જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓ અને આશાવર્કર મારફતે જાગૃત્તિ કાર્યક્રમો કરી રસીની સમજ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
વસઈ-વિરારમાં 90 ટકા બિલ્ડિંગને ઓસી નહિઃ બિલ્ડરો-મ્યુ. અધિકારીઓની સાંઠગાંઠ
ગેરકાયદે બાંધકામ કરી બેઠેલા બિલ્ડરો અરજી જ નથી કરતા ઓસી વિના સુવિધાઓનાં વાંકે રહીશો હેરાનઃ વિધાનસભામાં કૌભાંડ ગાજતાં તપાસના આદેશો મુંબઈ - વસઈ-વિરારમાં, ડેવલપર્સ અને અધિકારીઓની મિલીભગતથી ઓક્યુપન્સી સટફિકેટ કૌભાંડ ચાલી રહ્યું છે અને ૯૦ ટકા ઇમારતાને ે ઓક્યુપન્સી સટફિકેટ મળ્યું નથી એવો મુદ્દો વિધાનસભામાં ઉઠયા બાદ રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ૨૦૦૯ માં થઈ હતી. મહાનગરપાલિકાની સ્થાપનાના ૧૬ વર્ષમાં, લગભગ ૨૩૦૦ ઇમારતોને બાંધકામ પરવાનગી (સીસી) આપવામાં આવી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે UAE, સાઉદી અરેબિયા, ઓમાન અને કતાર જેવા ખાડી દેશોમાં ફસાયેલા લોકોની મદદ માટે વિવિધ સામાજિક સંસ્થાઓની સાથોસાથ વેપારી સંસ્થાઓ પણ આગળ આવી છે. ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન (IBF)એ ભારતીય નાગરિકો માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. અત્યારસુધીમાં 82થી વધુ લોકોએ હેલ્પ ડેસ્કમાં ઇન્કવાયરી કરી છે. જ્યારે 6 વ્યક્તિઓને IBFની મદદથી અમદાવાદ પરત લવાયા છે. દિવ્ય ભાસ્કરે IBFના સેક્રેટરી હિરેન ગાંધી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવી હતી. ઇરાનના હુમલા બાદ દુબઇમાં ઘણા ભારતીયો ફસાયેલા છે. ભારતની કોન્સ્યૂલેટ જનરલ દુબઇમાં અને એમ્બેસી અબુ ધાબીમાં આવેલી છે. ફસાયેલા લોકોએ IBFનો સંપર્ક કરતાં IBFએ કોન્સ્યૂલેટ જનરલ અને ભારતીય દૂતાવાસને જાણ કરી હતી. સાથે જ ફસાયેલા લોકો વિશે માહિતી આપી હતી. જેના પછી દૂતાવાસના અધિકારીઓએ તેમને સંપર્ક કરવાની ખાતરી આપી હતી. દૂતાવાસના અધિકારીઓએ ફોર્માલિટી પૂરી કરી અને ફસાયેલા લોકોમાંથી 6 લોકો અમદાવાદ પાછા આવી ગયા છે. આ 6 લોકોમાં એક વ્યક્તિ તો ડાયાબિટીસની દર્દી હતી. જ્યારે એક પરિવારને એક વર્ષનું બાળક હતું. પરત ફરેલા 6 લોકોમાં સુમંત ચૌધરી નામના એક બિઝનેસમેન પણ હતા. તેમણે IBFનો આભાર માન્યો છે. IBFના સેક્રેટરી હિરેન ગાંધીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દુબઇ બિઝનેસ સેન્ટર છે અને ત્યાંથી બીજા ખાડી દેશોની કનેક્ટિવિટી મળે. ગુજરાત અને ભારતના ઘણા વેપારીઓ ત્યાં અવર જવર કરતાં હોય છે. અહીંથી 2-2:30 કલાકનો રૂટ છે. દુબઇમાં ગુજરાતીઓનું વર્ચસ્વ બહુ સારું છે. હેલ્પ ડેસ્ક શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે જણાવતાં તેમણે કહ્યું કે, આ યુદ્ધ થયું પછી અમને સમાચાર મળ્યાં કે વેપારીઓને પાછાં આવવામાં બહુ તકલીફ છે. 2-3 ડ્રોન ત્યાં બ્લાસ્ટ થયાં એટલે બહુ પેનિક થઇ ગયું હતું. આવામાં IBFએ નક્કી કર્યું કે આપણે હેલ્પ ડેસ્ક ચાલુ કરીએ. જેથી અમે આ હેલ્પ ડેસ્ક ચાલુ કર્યું હતું અને ઇ-મેઇલ તેમજ મોબાઇલ નંબર આપ્યા હતા. અમે સરકાર અને એમ્બેસીને સાથે રાખીને વેપારીઓને મદદ કરીશું. તેમણે ફસાયેલા લોકોને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની અપીલ કરી. તેઓ કહે છે કે, ફસાયેલા લોકો ઇન્ડિયન એમ્બેસીનો પ્રોપર સંપર્ક કરે. એમ્બેસીમાંથી ફોર્મ આપશે જે સબમિટ કરવાથી ઇમિગ્રેશન અને ફ્લાઇટ બુકિંગ બાબતે મદદ મળશે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો સંપર્ક કરો. તમને સપોર્ટ અને રસ્તો મળી રહેશે. જે પ્રોટોકોલ હોય, ફોર્માલિટી હોય તે ત્યાં જઇને પૂરી કરો. ઇન્ડિયન ગર્વમેન્ટ સંપૂર્ણ સક્રિય છે. અમારો પણ સંપર્ક કરો. અમે તમને સપોર્ટ કરીશું, સમજાવીશું. કોઇએ પેનિક થવાની જરૂર નથી. તેમણે સામાન ઓછો રાખવાની અને શોપિંગ ટાળવાનું પણ કહ્યું.તેઓ કહે છે કે, લગેજ વધુ હોવાથી 2 માણસોની જગ્યા ઓછી થાય છે. આવું કરવાની શું જરૂર છે? લગેજ ઓછો કરી દો અને શોપિંગ ટાળો, શોપિંગ કરવાની જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જેને હેલ્થનો પ્રોબ્લેમ હોય કે નાના બાળકો હોય, મહિલા હોય તેમને અમે પ્રાયોરિટી આપીએ છીએ. સરકારની ગાઇડલાઇન પ્રમાણે પેપર વેરિફાય કરવાના હોય તેમને અમે બેકસપોર્ટ આપીએ છીએ. ટૂંક સમયમાં બધાં પાછાં આવી જશે.
ઈમરજન્સી ગણાતી હૃદય, અકસ્માત, મગજ, ઝેરીદવા પી લેવા સમાન ગંભીર ઘટનામાં સમયને જ મોટું શસ્ત્ર સમજી સારવાર કરવી જોઇએ તેમ યુનાઈટેડ કિંગડમ સહિત ભારતના જુદાજુદા ઇમરજન્સી મેડિસિનના નિષ્ણાતોએ ભુજની જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સેમિનારમાં જણાવ્યું હતું. યુ.કે.ની રોયલ ડર્બી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. વેંકટ કોટમરાજુએ સ્ટ્રોક ઉપર સમજ આપી હતી. GAIMSના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ આવકાર આપ્યો હતો. હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટીટયુટના ડો. આસિમા શર્મા, ડી.વાય.પાટીલ મેડિકલ કોલેજ પૂણેના ડૉ. સરબરી સ્વાઈકા, જયપુર એમ. જી. એમ. મેડિકલ કોલેજના પ્રોફે.ડો. સુચિત વાયા તથા ડો.રેવાંત અગ્રવાલ, લખનૌ ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો.રાજીવ રતનસિંઘ યાદવે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, બેંગલુરુ વ્યેદેહી મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરના ડો.સહાના, બેંગલુરુ રામૈયા મેડિકલ કોલેજના ડો.હરિપ્રસાદ કે.વી., તમિલનાડુ મેડિકલ કોલેજના ડો.સત્ય તેજા રવિ, મેદાંતા હોસ્પિટલ નોઇડાના ડો. નતાશા તથા મેરિંગો સિમ્સ હોસ્પિટલના ડો.હર્ષિલ મેહતા, અમદાવાદના એચ.સી.જી. હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યૂરો સર્જન ડો.પાર્થ જાનીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ ન.મો.મેડિકલ કોલેજના ડો.મેહુલ ગજ્જર, વડોદરા મેડિકલ કોલેજના ડો.રીના પરીખ, રાજકોટ ના ડો.પ્રતીક દોશી તેમજ આણંદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ ડો.દર્શન શાહ અને ડો.કેયુર શાહે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત મેડિકલ કાઉન્સિલ ઓબ્ઝર્વર ડો.બળવંતદાન ખડિયા હાજર રહ્યા હતા. અદાણી હેલ્થ કેરના હેડ ડૉ.પંકજ દોશીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં ડીન ડો. એ.એન.ઘોષ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો. નરેન્દ્ર હિરાણી, આસિસ્ટન્ટ.ડીન ડો.અજીત ખીલનાની સહિત તબીબો જોડાયા હતા. સંકેત પટેલ, ડો.શિવમ ભાનુશાલી અને ડો. રાહુલસિંહ જાડેજાએ આયોજન કર્યું હતું.
કચ્છના આંગણે આજે એક વિશેષ મુલાકાતે ભારે કુતૂહલ સર્જ્યું હતું. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ મહારાજે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ કચ્છના વિકાસ અને સંસ્કૃતિમાં રાજપરિવારના ઐતિહાસિક યોગદાનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. અગાઉ, માંડવી રોડ પર સ્થિત હેલીપેડ પર અચાનક ખાનગી ચોપરનું ઉતરણ થતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને જિજ્ઞાસા જોવા મળી હતી. શરૂઆતમાં અસમંજસ બાદ માલુમ પડ્યું હતું કે આ હેલિકોપ્ટરમાં ગૌતમ અદાણી અને સદગુરુ ભુજની મુલાકાતે આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની હતી. પ્રભાવી વ્યક્તિત્વોના આ મિલનને કચ્છના સામાજિક વર્તુળોમાં ગૌરવપૂર્ણ ગણાવવામાં આવી રહ્યું છે.
વિધાનસભામાં સરકાર દ્વારા અપાઈ માહિતી:ધોરડોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ 6.74 કરોડનો ખર્ચ થયો
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગતો મુજબ, કચ્છના વિશ્વવિખ્યાત ધોરડો ખાતે તૈયાર કરવામાં આવેલા લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભૂજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિધાનસભા સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી (પ્રવાસન) ને આ પ્રોજેક્ટ અંગે સવાલ કર્યો હતો. ધારાસભ્યએ તા. 31/12/2025 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ધોરડો ખાતે લાઈટ એન્ડ સાઉન્ડની કામગીરી, તેના ખર્ચ અને તેમાં વપરાયેલા કમ્પોનન્ટ વિશે વિસ્તૃત માહિતી માંગી હતી. આ પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ધોરડોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની કામગીરી કરવામાં આવી છે. આ વિશેષ પ્રવાસન પ્રોજેક્ટ પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 6,74,95,085/- નો માતબર ખર્ચ થયો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. પ્રોજેક્ટમાં આ કમ્પોનન્ટનો કરાયો છે સમાવેશસરકારના જવાબ મુજબ, આ પ્રોજેક્ટની કામગીરીમાં લાઈટ અને સાઉન્ડ શો, પ્રોજેક્ટર, સાઉન્ડ સીસ્ટમ, એસીપી (ACP) શીટ, અલગ અલગ પ્રકારની લાઈટીંગ, સ્ક્રિપ્ટ અને વોઈસ ઓવરનો સમાવેશ થાય છે.
માર્ચના આરંભે ‘હીટવેવ’:કચ્છમાં 3 મથકે પારો 40 ડિગ્રીને પાર જતા લોકો પરસેવે ન્હાયા
માર્ચ માસના બીજા સપ્તાહમાં જ ઉનાળાના આકરા તેવર જોવા મળી રહ્યા છે જેના પગલે કચ્છમાં ત્રણ મથકો પર મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. રાજ્યમાં બીજા ક્રમે ઉષ્ણ રહેલા કંડલા બંદરે અધિકત્તમ ઉષ્ણતામાન 41.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. જિલ્લામાં તાપમાન સામાન્ય કરતાં 6થી 9 ડિગ્રી વધુ રહેવાની સાથે ઉનાળાના આરંભે જ ગરમીનું મોજું ફરી વળ્યું હતું. ગુરૂવારથી ગરમી ઘટવાની રાહતરૂપ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કંડલા બંદરે મહત્તમ તાપમાનનો પારો એક ઝાટકે 3 આંક ઉંચકાઇને 41.4 ડિગ્રીએ પહોંચતાં બંદરીય વિસ્તાર હોવા છતાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. અહીં ઉષ્ણતામાન સામાન્ય કરતાં 9.3 ડિગ્રી જેટલું વધુ રહ્યું હતું. સમુદ્રી વિસ્તારમાં ભેજ અને ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. જિલ્લા મથક ભુજમાં પણ પારો એક ડિગ્રી વધીને 40.4 ડિગ્રી થતાં મધ્યાહ્ને લોકોએ કામ વિન ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને માર્ગો પર ચહલ પહલ ઘટી હતી. સામાન્ય કરતાં 6.4 ડિગ્રી જેટલા વધુ ઉષ્ણતામાન સાથે ઉનાળો કેવો આકરો રહેશે તેની કલ્પનાએ શહેરીજનોને અકળાવ્યા હતા. જો કે, સૂર્યાસ્ત બાદ ગરમીમાં રાહત અનુભવાઇ હતી. ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં પણ ગરમીની તીવ્રતા વધી હતી અને મહત્તમ તાપમાન 40.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર દેખાડ્યા હતા. મધ્યાહ્ને કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 16થી 22 ડિગ્રી વચ્ચે રહેતાં મોડી રાત્રે સામાન્ય ઠંડક પ્રસરી હતી. ગુરૂવારથી મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાની સાથે ગરમીમાં આંશિક રાહત રહેશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે દર્શાવ્યું છે. તેની સાથે આગામી ત્રણ દિવસ સુધી કચ્છમાં યલો એલર્ટ પણ જારી કરાયું છે.
ભાસ્કર રિયાલિટી ચેક:બહુમાળી ભવનના 124 રૂમમાંથી 64 બંધ કે તાળા જોવા મળ્યા
શહેરમાં આવેલું બહુમાળી ભવન વિવિધ સરકારી કચેરીઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાય છે, જ્યાં સોમવારે ભાસ્કરે રિયાલિટી ચેક કરતાં કેટલીક કચેરીઓ બંધ તથા તાળાબંધ જોવા મળી હતી. તો ઘણી જગ્યાએ કચરો તથા ધૂળ જામી ગયેલી ગાડીઓ નજરે પળી હતી. ભવનમાં અંદાજિત કુલ 124 ઓફિસ ઓરડાઓ છે. જેમાંથી અંદાજે 60 કચેરીઓ (48.39%) કાર્યરત જોવા મળે છે, જ્યારે 25 કચેરીઓ (20.16%) બંધ હતી અને 39 ઓરડાઓ (31.45%) તાળાબંધ જોવા મળ્યા હતા. આમ કુલ મળીને આશરે 51.61 ટકા જેટલા ઓરડાઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. અમુક કચેરીઓ સમયાંતરે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી હોવાથી તેના ઓરડાઓ હાલમાં ખાલી છે. બહુમાળી ભવન સરકારી સેવાઓ માટે કેન્દ્રસ્થાન હોવાથી જો ખાલી પડેલા ઓરડાઓનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને જરૂરી વિભાગોને અહીંથી કાર્યરત બનાવવામાં આવે તો નાગરિકોને એક જ સ્થળે વધુ સેવાઓ સરળતાથી મળી શકે. સાથે-સાથે કાર્યરત કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ સંકલન સરળ બનશે. સરકારી કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે આગળ વધી શકે. ઉપલબ્ધ ઓરડાઓનો સુયોગ્ય ઉપયોગ થાય તો નાગરિકોને સરકારી કામકાજમાં વધુ સરળતા મળશે તેમજ સમગ્ર વ્યવસ્થામાં પણ કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થઈ શકે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરવાજા ખુુલ્લા તૂટેલા દરવાજાઓના કારણે ઓરડો ખુલ્લી હાલતમાં છે, જ્યાંથી કોઈ અજાણ્યા લોકો પણ સહેલાયથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ છે. હોઝપાઇપ હોવો જરૂરી ભવનમાં લગવામાં આવેલ હોઝબોક્સ જેમાં હોઝપાઇપ હોવો જરૂરી જેના કારણે આગના સમયે રિલ સાથે તેને જોડી રાહત કામગીરી કરી શકાય. ધૂળ ખાતું વાહન ઘણા સમયથી ભવન પરિસરમાં પાર્ક કરાયેલા સરકારી વાહનોમાં ધૂળ જામેલી છે જે તેનો યોગ્ય ઉપયોગ ન થયાનું નજરે પડે છે.
ભાસ્કર એનાલિસિસ:કચ્છમાં ધો.10માં બેઝિક ગણિતનો ક્રેઝ, સ્ટાન્ડર્ડનો હાઉ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.10ની પરીક્ષામાં કચ્છમાં આ વર્ષે એક ચોંકાવનારું અને ચિંતન માંગી લે તેવું વલણ જોવા મળ્યું છે. શિક્ષણ વિભાગે ગણિત વિષયમાં વિદ્યાર્થીઓનો ભાર હળવો કરવા બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે વિકલ્પો આપ્યા છે, પરંતુ કચ્છમાં વિદ્યાર્થીઓનો ઝુકાવ સ્પષ્ટપણે બેઝિક મેથ્સ તરફ વધુ જોવા મળી રહ્યો છે. આ વર્ષના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, શુક્રવારે બેઝિક ગણિતના પેપરમાં કુલ 25,214 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી 774 વિદ્યાર્થી ગેરહાજર રહેતા કુલ 24,440 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તેની સામે સોમવારે લેવાયેલી સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષામાં માત્ર 744 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી 742 વિદ્યાર્થીએ હાજર રહી પરીક્ષા આપી હતી. આમ, જિલ્લામાં ધો. 10ના કુલ વિદ્યાર્થીઓ પૈકી 97% વિદ્યાર્થીએ બેઝિક ગણિત પર પસંદગી ઉતારી છે, જ્યારે માત્ર 3% જેટલા જૂજ વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ મેથ્સનું સાહસ ખેડ્યું છે. જોકે, સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા વિજ્ઞાન પ્રવાહના A-Group માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભવિષ્યમાં એન્જિનિયરિંગ લાઇન માટે પાયાના વિદ્યાર્થીઓ ઓછા મળે તેવી શક્યતા છે. ચિંતા : વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છેઅગાઉ ગણિતની પરીક્ષા એક જ લેવાતી બાદમાં શિક્ષણ વિભાગે હાઉ ઘટાડવા ધો.10 ના વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે વિકલ્પો આપ્યા. પુસ્તક એક જ છે, માત્ર પ્રશ્નપત્ર અલગ છે અગાઉ શરૂઆતમાં એવો નિયમ હતો કે, સ્ટાન્ડર્ડ ગણિત રાખનારા ધો. 11 માં વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકે છે. બેઝિક ગણિત રાખનાર ધો.11 માં વિજ્ઞાન પ્રવાહના માત્ર B-ગ્રુપ (બાયોલોજી) અથવા (કોમર્સ/આર્ટસ) માં પ્રવેશ મેળવી શકતા હતા. A-ગ્રુપમાં પ્રવેશ મેળવવો હોય તો જુલાઈમાં લેવાતી પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપીને પાસ થવું પડે. જોકે બાદમાં વિભાગે આ વિકલ્પ દૂર કર્યો અને હાલમાં કોઈપણ ગણિત રાખો અને કોઇપણ ક્ષેત્રમાં પ્રવેશ મેળવો તેવો નિયમ હોવાથી સ્ટાન્ડર્ડ ગણિત રાખનારાની સંખ્યા ઘટી હોવાનું સામે આવ્યું છે. ભાસ્કર ઇનસાઇડચિંતન માંગી લે તેવું વલણ : ગત વર્ષની તુલનાએ સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કરનારા 132 વિદ્યાર્થીઓ ઘટ્યાગત વર્ષના આંકડા સાથે તુલના કરીએ તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં 879 વિદ્યાર્થી નોંધાયા હતા, જેની સામે આ વર્ષે સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કરનારાની સંખ્યામાં 132નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ગત વર્ષે બેઝિક મેથ્સમાં 23,947 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેની સરખામણીએ આ વર્ષે બેઝિક મેથ્સ પસંદ કરનારા વિદ્યાર્થીની સંખ્યામાં 1267 છાત્રનો વધારો થયો છે. આ આંકડાઓ સાબિત કરે છે કે કચ્છના વિદ્યાર્થીઓમાં સ્ટાન્ડર્ડ મેથ્સ પ્રત્યેનો ઉત્સાહ ઘટી રહ્યો છે. ગણિતનો હાઉ અને સ્પર્ધાત્મક પરીક્ષાનો ક્રેઝ જવાબદારશિક્ષણવિદો અને જાણકારોના મતે આ પાછળ મુખ્ય બે કારણો જવાબદાર માનવામાં આવે છે. પ્રથમ કારણ એ છે કે ગણિત વિષય પ્રત્યેનો વર્ષો જૂનો ડર હજુ પણ વિદ્યાર્થીઓના માનસપટ પર યથાવત છે, જેથી પરિણામ બગડવાના ડરે વિદ્યાર્થીઓ સરળ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. બીજું કારણ એ છે કે ધોરણ 10 પછીના ભવિષ્યના આયોજનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. મહત્તમ વિદ્યાર્થીઓ હવે એન્જિનિયરિંગ કે ગણિત આધારિત ક્ષેત્રોને બદલે આર્ટસ અને કોમર્સ પ્રવાહ પસંદ કરી રહ્યા છે, જેથી તેઓ ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. વાલીઓ પણ પોતાના સંતાનો પર ખોટું દબાણ લાવવાને બદલે તેમને બેઝિક મેથ્સ રાખીને સારા ટકા લાવવા પ્રોત્સાહિત કરી રહ્યા હોય તેવું જણાય છે.
ગૌ હત્યાનો આરોપી 8 માસ બાદ પોલીસના સકંજામાં:ગૌ-હત્યાના ગુનામાં ફરાર મોટી રોહાતડનો આરોપી ઝડપાયો
ખાવડા પોલીસ મથકે નોધાયેલા ગૌ-હત્યાના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા મોટી રોહાતળ ગામના આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો.આરોપીને પકડવા માટે એલસીબીએ ઇકો વાન ભાડે કરી પેસેન્જરના સ્વાંગમાં આરોપી સુંધી પહોચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે તપાસમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,મોટી રોહાતળ ગામના આરોપી વેરશી મીઠા સમા સામે ખાવડા પોલીસ મથકે પશુ પ્રત્યે ઘાતકી પણુ અટકાવવાની કલમ તળે ગુનો નોધાયેલો છે.જે પોલીસ પકડથી નાસતો ફરે છે અને હાલ પોતાના રહેણાંક મકાને હાજર છે. બાતમીને આધારે આરોપીને ઝડપી લેવા એલસીબીની ટીમે ઇકો વાન ભાડે કરી હતી અને પેસેન્જરના સ્વાંગમાં ગામમાં પહોચી સ્થાનિકેથી આરોપીને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે,ગત 22 ઓગષ્ટ 2025 ના મોટી રોહાતળમાંથી ગૌવંશના માંસ સાથે આરોપી મુકીમ મીઠા સમા અને ઉમર ઓસમાણ સમાને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.જ્યારે આરોપી વેરશી ભાગી જતા પોલીસને હાથ લાગ્યો ન હતો અને આઠ મહિનાથી ફરાર હતો.
ટંકારા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિને નારીશક્તિના આદર્શ જીવનના સાત પગથિયા અંગેનો સંદેશો પાઠવી ધર્મ ના મર્મની સમજ આપી સાસુ વહુ વચ્ચે સ્નેહ કેળવાઈ અને શાંત ચિતે ચિંતન કરી સ્ત્રી શકિતને સંગઠિત રહી ઘર ને સ્વર્ગ બનાવવા અપીલ કરાઈ હતી. ટંકારા ખાતે કાર્યરત બ્રહ્માકુમારીઝ સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિવસે સ્ત્રીઓ માટે ખાસ આદર્શ જીવનની ચાવી શુ છે? વિષય પર યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ અતિથિ તરીકે ઉપસ્થિત ફીજીયોથેરાપિસ્ટ ડૉ.સારિકાબેન, નર્સ નિમુબેન, ટીચર જાગૃતિબેન સહિતનાઓએ દીપ પ્રાગટ્યથી કર્યો હતો. આ તકે, નારીશક્તિને આદર્શ જીવનના લક્ષ્યને સાધવા માટે આદર્શ નારીના સાત પગથિયાની વિસ્તૃત સમજ અપાઈ હતી. જેમા, પ્રથમ પગથિયું સંસ્કારી સંતાન, બીજુ પરીવારમા સંબંધોમા સુમેળ, ત્રીજુ સાદગી પૂર્ણ જીવન, ચોથુ સાત્વિક ભોજન, પાચમુ ઘરે જ પ્રતિદીન સાધના, છઠ્ઠુ શારીરિક સ્વાસ્થ્ય અને સાતમુ પગથીયુ સાત્વિક જીવનશૈલી. આ સાત પગથીયા ઉપર ગૃહ લક્ષ્મિએ ચાલવા સંદેશો પાઠવી સ્ત્રીને ત્રણ પ્રકારની લક્ષ્મી ગણાવતા સંધ્યાદીદીએ સ્ત્રીને ગૃહલક્ષ્મી, ધનલક્ષ્મી અને ધાન્યલક્ષ્મી ગણાવી ઘરગૃહસ્થી કેવી રીતે ચલાવવુ એનો અર્થ ધર્મ સાથે વણીને સમજાવ્યો હતો. એકતાદીદીએ આવકના સ્ત્રોત પ્રમાણે ખર્ચ કરવાથી ઘર મંદિર અને ઘર ભાગવત બને જયારે આવકથી વધુ ખર્ચ થવાથી મહાભારત સર્જાવાનો મર્મ કુનેહપૂર્વક સમજાવ્યો હતો. અંત મા, ઉપસ્થિત સાસુ વહુ વચ્ચે સ્નેહ લાગણી અને હેત પ્રેમ માટે સ્નેહ મિલનનો સંકલ્પ લેવડાવી ઘર-સમાજ ની શાંતિ માટે સ્થિર મને શિવશક્તિ નુ સ્મરણ કરાયુ હતું. કાર્યક્રમ દરમિયાન બહેનોમાં આધ્યાત્મિક ચેતના અને સંસ્કારી જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાઈ હતી. બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા સમાજમાં નારીશક્તિ સશક્ત બને અને પરિવાર વ્યવસ્થામાં સુમેળ વધે તેવા સંદેશ સાથે આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઇ હતી. અંતે ઉપસ્થિતોએ પરિવાર અને સમાજમાં શાંતિ, પ્રેમ અને એકતા જળવાઈ રહે તે માટે સંકલ્પ લીધો હતો.
પતિએ પત્નીને માર્યો ઢીકાપાટુનો માર:અણબનાવ થતાં પત્ની પિયર જતી રહી, ત્યાં ધસી જઇ પતિએ મારકૂટ કરી
મોરબીમાં પતિ સાથે મનમેળ ન હોવાથી હાલ રિસામણે માવતરના ઘરે રહેતી પત્નીએ પતિ પાસે ભરણપોષણ મેળવવા કોર્ટમાં કેસ કર્યો હોવાથી આ બાબતનો ખાર રાખીને તેના પતિ સહિત કુલ બે વ્યક્તિએ પત્નીના માવતરના ઘરે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ સંદર્ભે પત્નીએ તેના પતિ સહિત બે શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંઠે માહી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (ઉ.વ.37)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયા અને ચિરાગ અમૃતભાઈ સાગઠીયા રહે. બંને મોરબી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ પોતાના માવતરના ઘરે રિસામણે છે અને તેના પતિ રાકેશભાઈ સાગઠીયા સામે તેણીએ મોરબીની કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો છે. આ બાબતનો ખાર રાખીને ફરિયાદીને તેના પતિ અવારનવાર હેરાન પરેશાન કરતા હતા અને બંને આરોપી સાંજે 7:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે વિસ્તારમાં થોડો સમય માટે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું.
મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીમાં લાભ મેળવી શકે તેવા આશયથી ફરી એકવાર ખાસ સામાન્ય સભા બોલાવાઇ છે. આ બેઠક આજે ૧૦ માર્ચના રોજ સાંજે ૪ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાશે. વાર્ષિક બજેટ માટેની અગાઉની સભાને લગભગ અંતિમ સભા મનાઇ હતી, પરંતુ હવે ચૂંટણી પહેલાં પેન્ડિંગ વહીવટી અને તકનીકી મંજૂરીને બહાલી ન મળતા ઘણા કામ અટકી શકે તેવી સ્થિતિ હોવાથી આ ખાસ સભામાં આ બાકી કામને સામાન્ય સભાની મંજૂરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ સભા દ્વારા સ્વ ભંડોળ અને રેતી રોયલ્ટી હેઠળના પેન્ડિંગ વિકાસ કામો રસ્તા, પાણી પુરવઠો, શિક્ષણ વગેરેને અમલમાં મૂકવા માટે મંજૂરીઓ મળી શકે છે. આવતીકાલની સામાન્ય સભામાં અગાઉની બેઠકમાં સામાન્ય સભાની કાર્યવાહી નોંધ, સામાન્ય સભાની વિવિધ નોંધ,અલગ અલગ સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત વિવિધ સદસ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપવા, સ્વભંડોળ તથા રેતી રોયલ્ટીના જે કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી હોય અને અમલ બાકી હોય તેવા તમામ તથા રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી આપવામાં આવશે.
નમસ્તે, આવતીકાલના મોટા સમાચારોમાં જોઈએ તો યુદ્ધની અસરના કારણે સરકારે ગેસના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી ગેસનો બાટલો નોંધાવવા માટે 25 દિવસ પહેલું બુકિંગ કરાવવું પડશે. રાજસ્થાન અને પંજાબમાં કોમર્શિયલ ગેસના બાટલાના વેચાણ પર પ્રતિબંધ આવી ગયો છે. બીજી તરફ ઈરાન યુદ્ધમાં ભારતના સ્ટેન્ડ માટે બંને સદનમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. બંગાળ પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બજેટ સત્રના બીજા તબક્કાનો આજે બીજો દિવસ છે. લોકસભા સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. 2. સોનમ વાંગચુકની અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે કાલના મોટા સમાચારો 1. ગેસના બાટલાના બુકિંગના નિયમોમાં ફેરફાર:ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનો નિર્ણય, બીજો સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે; રાજસ્થાન-પંજાબમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર રોક કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પિરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે. બીજી તરફ રાજસ્થાન અને પંજાબમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર પ્રતિબંધ આવી ગયો છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ભર્યું છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ને આ માહિતી આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું હતું કે જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડર બુક કરીને સ્ટોક કરી રહ્યા હતા. વેઇટિંગ પિરિયડને 25 દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે. તેનાથી એવા લોકોને સરળતાથી સિલિન્ડર મળી શકશે જેમને ખરેખર જરૂર છે.વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પે કહ્યું- ઓસ્ટ્રેલિયા ઈરાનની મહિલા ખેલાડીઓને શરણ આપે:નહીંતર અમેરિકા આપશે, પાછા મોકલવા મોટી ભૂલ; રાષ્ટ્રગાન ન ગાયું તો દ્વેષનો આરોપ આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો દસમો દિવસ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાને ઈરાની મહિલા ફૂટબોલ ખેલાડીઓને આશ્રય આપવા અપીલ કરી છે. ટ્રમ્પે કહ્યું કે તેમને ઈરાન પરત મોકલવાથી તેમના જીવન જોખમમાં મુકાશે અને તે એક ગંભીર માનવતાવાદી ભૂલ હશે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા મહિલા એશિયન કપ દરમિયાન બની હતી. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ મહિલા ટીમે રાષ્ટ્રગીત ગાયું નહોતું, જેને સરકાર સામે વિરોધ તરીકે જોવામાં આવ્યું હતું. આ પછી ઈરાની મીડિયાએ ખેલાડીઓને દેશદ્રોહી ગણાવ્યા અને તેમની સામે કાર્યવાહીની માંગ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાન યુદ્ધ પર બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો:સરકારે કહ્યું- સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા તૈયાર સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે, લોકસભા અને રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધો પર ભારે હોબાળો થયો. વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી. આ દરમિયાન, વિદેશ મંત્રીએ પહેલા રાજ્યસભામાં અને પછી લોકસભામાં ઈરાન યુદ્ધ શરુ થયા બાદ ગલ્ફ દેશોમાંથી ભારતીયોના પાછા લાવવા અને તે બાબતની તૈયારીઓ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર ભાષણ આપ્યું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, 28 ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. ઘણા ખાડી દેશોમાં પરિસ્થિતિ તંગ છે. વાતચીત થવી જોઈએ અને તણાવ ઓછો થવો જોઈએ. અમે ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ પ્રધાન એસ.જયશંકરના નિવેદનો સાંભળીને વિપક્ષના સાંસદો હોબાળો મચાવી રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બંગાળની મુલાકાતે, કાલીઘાટમાં પૂજા કરી:લોકોએ ગો-બેકના પોસ્ટર, કાળા વાવટા ફરકાવ્યા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રવિવારે સાંજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા કોલકાતા પહોંચ્યા. 3 દિવસ ચાલનારી ચૂંટણી પંચની ફુલ બેન્ચ મીટિંગ દરમિયાન સોમવારે જ્ઞાનેશ કુમાર કાલીઘાટમાં પૂજા કરવા પહોંચ્યા હતા. મંદિરની બહાર હાજર પ્રદર્શનકારીઓએ ગો બેકના પોસ્ટર અને કાળા વાવટા ફરકાવ્યા હતા. આ પહેલા રવિવારે પણ કોલકાતા પહોંચતા કેટલાક લોકો તેમના કાફલા સામે ઝંડા લઈને પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તરફ, ભાજપના એક ડેલિગેશને સોમવારે ભારતના ચૂંટણી પંચની ફુલ બેન્ચ સાથે મુલાકાત કરી અને માંગ કરી કે 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં જ યોજવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઓઈલ સંકટના કારણે પાકિસ્તાનમાં 'લોકડાઉન'!:સ્કૂલો બે અઠવાડિયા માટે બંધ, કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ; મંત્રીઓના પગાર–વિદેશ પ્રવાસો રોક્યા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે વધતી ઓઈલ કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રોકી દેવામાં આવ્યા છે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25%નો ઘટાડો થશે. તેમજ, પાકિસ્તાનમાં હવે બે મહિના સુધી સરકારી વાહનોને 50% ઓછું ઇંધણ મળશે. 60% સરકારી વાહનો ચાલશે નહીં. તમામ સરકારી વિભાગો પોતાના ખર્ચમાં 20%નો ઘટાડો કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બે કોલેજીયન ફ્રેન્ડના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ:15 દિવસના અંતરાલમાં બંનેનું પ્રેમી સાથે બ્રેકઅપ થયું હતું, ચેટ મળી સુરતના ડીંડોલીમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું છે કે, રોશની અને જ્યોત્સના બંનેના તાજેતરમાં જ બ્રેકઅપ થયા હતા, જેના કારણે તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી. ચોંકાવનારી વિગત એ છે કે, આ બંને બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરાલમાં જ થયા હતા, જેણે આ બંને સખીઓને માનસિક રીતે તોડી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદની ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવી વિદ્યાર્થીઓને ધમકી:બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ નશામાં ગાડી તોડી, નવરંગપુરા પોલીસ ધરપકડ કરવા પહોંચી ખાનગી કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યે એક ગાડીમાં તોડફોડ કરી કોલેજના વિધાર્થી પર હુમલો કર્યો છે.આદિત્ય ગાડી લઈને આવ્યો હતો જે બાદ નશાની હાલતમાં કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી વિધાર્થીઓને રિવોલ્વર બતાવી હતી. આ બનાવની જાણ થતા નવરંગપુરા પોલીસ સ્થળ પર પહોચી છે. શહેરના લો ગાર્ડન પાસે આવેલી ખાનગી કોલેજમાં બપોરના સમયે વિદ્યાર્થીઓ કોલેજની બહાર ઉભા હતા. આ દરમિયાન ફોર્ચ્યુનર ગાડી લઈને અસારવાના જાણીતા બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ પસાર થઈ રહ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સરકાર એલર્ટ:પશ્ચિમ એશિયાથી ભારતીય વિમાન કંપનીઓની આજે 50 ફ્લાઇટ્સ સંચાલિત કરવાની યોજના વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાનની મદદ કેમ નથી કરી રહ્યા હૂતી વિદ્રોહીઓ:9 દિવસ પછી પણ શિયા સૈનિકો યુદ્ધથી દૂર, સમર્થનમાં માત્ર નિવેદનો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં વરસાદ-બરફવર્ષાનું એલર્ટ:રાજસ્થાનમાં પારો 40Cને પાર, MPમાં 39C પહોંચ્યો; દિલ્હીમાં પણ તાપમાન 35Cને પાર નોંધાયું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : યુદ્ધના માહોલમાં ભારતીયોની મદદે અબુ ધાબી BAPS મંદિર:ફસાયેલા લોકો માટે રહેવા-જમવાની સાથે સ્વદેશ પહોંચાડવાની વ્યવસ્થા કરી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ક્રૂડ ઓઇલના ભાવ સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ:અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધને કારણે 100 ડોલરને પાર, સરકારે કહ્યું-પેટ્રોલ-ડીઝલ મોંઘા નહીં થાય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : જીત બાદ ધોનીએ ગંભીર માટે લખી એક ખાસ પોસ્ટ:સચિને કહ્યું, ઇનક્રેડિબલ વર્ક, ટીમ ઇન્ડિયા; કોહલી, મોદી સહિતનાં દિગ્ગજોએ વખાણ કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : રામકૃષ્ણ પરમહંસની શીખ:જે દિવસે આપણું મન સુખ-સુવિધાઓ અને ધનથી હટીને ભગવાનમાં લાગી જશે, તે જ દિવસે સાચી શાંતિ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકેસાપને બેગમાં ભરીને હોસ્પિટલ પહોંચ્યો યુવક રાજસ્થાનના અલવરમાં એક યુવક કોબ્રા સાપને બેગમાં ભરીને સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ જ સાપે તેને હાથમાં બચકું ભરી લીધું હતું. સારવાર કરાવવાની ઉતાવળમાં યુવક બેગ ગાડીમાં જ છોડી ગયો હતો. આ દરમિયાન સાપ બેગમાંથી બહાર નીકળીને બીજી કારના એન્જિનમાં ઘૂસી ગયો હતો. બાદમાં રેસ્ક્યુ ટીમે તેને બહાર કાઢ્યો હતો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મોરેશિયસમાં ચાલતા જહાજમાંથી કેવી રીતે ગાયબ થયો સાર્થક:34 દિવસ પછી પણ કોઈ અતોપત્તો નથી, માતા બોલ્યા- કંપની કંઈક છુપાવી રહી છે 2. મંડે મેગા સ્ટોરી 200+ રન પણ જીતની ગેરેંટી નથી:નવી ટીમો-ખેલાડીઓએ દિગ્ગજોને પછાડ્યા, ભારતનું વર્ચસ્વ અકબંધ; કેમ યાદ રાખવામાં આવશે આ વર્લ્ડકપ 3. આજનું એક્સપ્લેનર:તેલથી ખિસ્સું ભરી રહ્યું છે રશિયા, હવે ભારતને પણ મોંઘા ભાવે વેચશે; અમેરિકા-ઈરાન જંગથી પુતિન કેવી રીતે બની રહ્યા છે 'વિનર', 5 ફેક્ટર્સ 4. ઓનલાઇન રિફંડ લેવા જતાં ખાતામાંથી ₹80 હજાર ઉપડી ગયા!:ગૂગલ પર કસ્ટમર કેરનો નંબર શોધવો મહિલાને ભારે પડ્યો, જાણો 'રિફંડ સ્કેમ'થી કેવી રીતે બચવું 5. Editor’s View: યુદ્ધની આગ હવે ઘર બાળશે:ત્રણ કારણથી ઇરાને દુનિયાનું ટેન્શન વધાર્યું, ભારતમાં અસર શરૂ, ખાડી દેશોમાં 90 લાખ ભારતીયો પર તલવાર લટકી 6. પારકી પંચાત : ઈસુદાન-ખવડની મુલાકાતે ગામ ગાંડું કર્યું:ડાયરામાં મૂકેલા મમરાની ચર્ચા ઉપડી, જીતુ વાઘાણીએ નેતાજીને ઇગ્નોર કર્યા!, સ્ટેજ પર મોં ફેરવી લેવાનો જબરો સંયોગ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિને વેપારમાં પ્રગતિ થશે, મેષ અને ધન જાતકોએ મુસાફરી ટાળવી વાંચો સંપૂર્ણ રાશિફળ
લ્યો બોલો!:ધો.12ના એકમાત્ર વિદ્યાર્થી માટે હળવદમાં કેન્દ્ર અપાયું, પરીક્ષાર્થી જ ન આવ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં એસ.એસ.સી. ધોરણ 10 ની પરીક્ષામાં સ્ટેન્ડર્ડ ગણિત 12 અને અંગ્રેજી 506 વિષયની પરીક્ષા લેવાઇ હતી. આ બંને વિષયોમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં 475 વિદ્યાર્થી નોંધાયેલા હતા. જેમાંથી 473 વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે સ્ટેન્ડર્ડ ગણિતના ગુજરાતી માધ્યમના 2 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી વિષયમાં અને અંગ્રેજી માધ્યમમાં 100 ટકા હાજરી જોવા મળી હતી. તો બીજી તરફ હળવદની એક શાળામાં એક જ વિદ્યાર્થી માટે કેન્દ્ર અપાયું હતું અને એ જ વિદ્યાર્થી હાજર ન રહેતાં શાળા સંચાલકો ગિન્નાયા હતા. મોરબી જિલ્લામાં ધો.12માં સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 4516 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. તેમાંથી 4500 વિદ્યાર્થીઓ હાજર અને 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ 209 વિદ્યાર્ થીઓમાંથી 207 વિદ્યાર્થીઓ હાજર અને 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ રીતે બંને માધ્યમને મળીને કુલ 4725 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 4707 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર અને 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શિક્ષકો, સુપરવાઇઝર, સ્ટાફને હેરાનગતિમોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષાના એક કેન્દ્રમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં હળવદના મંગલમ વિદ્યાલયનું જે પરીક્ષા કેન્દ્ર છે.એમાં એક જ વિદ્યાર્થી નોંધાયેલો છે. આ એક વિદ્યાર્થી માટે આખું પરીક્ષા કેન્દ્ર ફળવાયું છે. આ પરીક્ષા કેન્દ્રમાં સુપરવાઝર, સ્થળ સંચાલક સહિતનો સ્ટાફ, સીસીટીવી કેમેરા સહિતના પરીક્ષા માટે તમામ જરૂરી સાધનો ફાળવાયા છે. આ કેન્દ્રમાં પોલિટિક્સ (રાજનીતિ વિજ્ઞાન) વિષયની પરીક્ષા માટે માત્ર એક જ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન હતું. પરંતુ તે વિદ્યાર્થી પણ પરીક્ષા આપવા આવ્યો જ ન હતો. પરિણામે, પરીક્ષા કેન્દ્રમાં શિક્ષકો, સુપરવાઇઝર અને સ્ટાફ હાજર હોવા છતાં કોઈ પણ વિદ્યાર્થીની હાજરી ન હોવાથી આ કેન્દ્ર ખાલીખમ રહ્યું હતું. આથી સંચાલક ખૂબ જ રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, “સરકારી નાણાંનો અયોગ્ય ઉપયોગ થાય છે અને માસૂમ બાળકોના શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે. જો ફોર્મ ભર્યા છે તો પરીક્ષા આપવી જ જોઈએ , આવી બેદરકારી સહન કરી શકાય નહીં. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ફોર્મ ભર્યા પછી પરીક્ષા આપવાની જવાબદારી નિભાવવા માટે ટકોર કરી હતી.
મોરબી જિલ્લામાં હાલ ધો.10, 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એક તો આ બોર્ડની પરીક્ષા ખુદ જ આકરી કસોટી હોય ત્યારે જીવનમાં પણ અણધારી વિષમ પરિસ્થિતિ આવી પડે તો વિદ્યાર્થીઓ માટે આ બન્ને મોરચે લડવું કઠિન હોય છે. આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ આવી કસોટી સામે હિંમતભેર લડીને બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક અસમાનતાની ખાઈ એટલી ઉંડી હોય છે કે આ અભાવો વચ્ચે ભણવું પડકારજનક હોય છે. આમ છતાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસમાં ઓટ દીધી નથી. મને ભણાવવા પિતા જે મહેનતકરે છે તે એળે નહીં જવા દઉંમોરબીના ચામુંડાનગરમાં રહેતો જિજ્ઞેશ રમેશભાઈ મકવાણા હાલ ધો.10ની પરીક્ષા આપી રહ્યો છે. તેના પિતા રમેશભાઈ રીક્ષા ચાલક હોય સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે પુત્રીને સારી સ્કૂલમાં ભણાવી રહ્યા છે. જિજ્ઞેશ કહે છે કે, મારા પિતાએ મારા ઉપર ક્યારેય નંબર વન લાવવા પ્રેશર કર્યું નથી. પણ મને ભણાવવા માટે મારા પિતા જે મહેનત કરી રહ્યા છે. એને લેખે લગાડવા માટે હુંસારો દેખાવ કરીશ. વૃદ્ધાવસ્થા છતાં દાદી મારી ફી ભરેછે, મદદ કરવાની મારી ફરજસામાકાંઠે આવેલી સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા પ્રથમલલિતભાઈ વાઘેલાના પરિવારની આર્થિક પરિસ્થિતિસાવ ડામાડોળ છે. પિતા બીમારીનેકારણે કામ કરવામાં અસક્ષમ હોયકાકાની સાથે દાદીને પણ મજૂરી કામકરવું પડે છે. દાદી સફાઈનું કામ કરીપરિવારને મદદરૂપ થાય છે. જો કેપ્રથમને ભણવામાં ખૂબ જ રુચિહોવાથી ધો.9 સુધીમાં તેજસ્વી રહ્યા બાદ હવે સખતપરિશ્રમ કરીને ઉજ્જવળ પરિણામ મેળવવા ધો. 10નીબોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. દાદીના અવસાનના આઘાતજીરવીને પરીક્ષા આપીમોરબીના સામાકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપરભઠ્ઠાવાળી લાઇનના નાકે રહેતી સમા માહિનસાજીદભાઈ શરુઆતથી જભણવામાં તેજસ્વી છે અને હાલ ધો.10 બોર્ડની એક્ઝામ આપી રહી છે.પેપર દેવા જાય એ પહેલા તેનાદાદીએ સદાને માટે આંખો મીંચીલીધી હતી. દાદીએ હું પરીક્ષામાં ખૂબઉંચા ગુણે ઉત્તીર્ણ થાઉં એવા સ્વપ્ન જોયા હતા.તેથીએમના સ્વપ્નને સાકાર કરવા કાળજે પથ્થર રાખીનેમહેનત કરીને બોર્ડની પરીક્ષા આપી રહી છું.
વેધર રિપોર્ટ:મોરબીમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર, બે દિવસમાં 37 સુધી પહોંચશે
હોળી તાપીને ઠંડીએ બિસ્તરા પોટલા બાંધીને વિદાય લીધી છે. એ પહેલા જ ગરમીની શરૂઆત થઈ ચુકી હતી.પરંતુ હવે ઉનાળાના પ્રારંભે બહુ જ ઝડપથી ગરમીનો પારો સડસડાટ ઊંચે ચડી રહ્યો છે. મોરબીમાં આજે તાપમાન 35 ડિગ્રીને આંબી ગયું હતું. જો કે ફાગણીયાની શરૂઆતથી રાત્રે મંદ મંદ ઠંડો પવન અને દિવસભર 27 ડિગ્રી તાપમાન રહ્યું હતું અને એક જ સપ્તાહમાં ઉંચી છલાંગ લગાવી પારો 34 ડિગ્રીએ પહોંચી ગયો છે. હજુ બે ચાર દિવસમાં જ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉનાળો જાણે અત્યારથી જ મધ્યાહને પહોંચી ગયો હોય ગરમીની શરૂઆતમાં જ ગરમ લુની અનુભૂતિથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. જો કે, સવારે ભેજનું વાતાવરણ 70 ટકા અને બપોરે 35 ટકા ભેજનું વાતાવરણ રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકે 12 કિમીની રહી હતી. બપોરે ગરમી વચ્ચે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ગરમીના વધતા પ્રભાવને કારણે બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. લોકો તડકાથી બચવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે જ્યારે શેરડીનો રસ , ઠંડા પીણાં, છાસ અને શરબતની માંગમાં પણ વધારો થયો છે. ડોક્ટરો દ્વારા લોકોને પૂરતું પાણી પીવા અને તડકામાં અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. એક જ દિવસમાં પાંચ વખત વીજળી ગુલ મોરબીમાં ગરમી વધતાંની સાથે વીજળીના ધાંધિયા શરૂ થઈ જતા લોકો વીજળી વગર ગરમીમાં અકળામણ અનુભવી રહ્યા છે. તેમાંય આજે તો વીજ તંત્રની બેદરકારીએ હદ વટાવી દીધી હતી. શહેરના ઘણા વિસ્તારોમાં આજે એક દિવસમાં પાંચ પાંચ વખત વીજળી ગુલ થઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. ઉનાળાના પ્રારંભે જ આ સ્થિતિ હોય તો આગળ જતાં કેવી ગંભીર સ્થિતિ સર્જાશે તે સવાલ લોકોને ભારે અકળાવી રહ્યો છે.
મોરબી જિલ્લાના છેવાડા વિસ્તાર ન્યુ નવલખી અને વર્ષામેડી વિસ્તારોમાં રહેતા શ્રમજીવી પરિવારોએ પીવાના પાણીની તીવ્ર અછત સામે આક્રોશ વ્યક્ત કરતાં મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો હતો. અંદાજે 300 થી વધુ પરિવારો છેલ્લા 6 મહિનાથી નિયમિત પાણી પુરવઠો ન મળવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શિયાળાની શરૂઆત સાથે જ છેવાડાના આ વિસ્તારમાં પાણીની સમસ્યા બુમરેંગ બની ગઈ છે. ઘણા પરિવારોને દૂર-દૂરથી પાણી લાવવું પડે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોને ખાસ તકલીફ પડે છે. મોરબી પાણી પુરવઠા વિભાગને તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ મામલે ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે. જોકે, સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આવા વચનો અગાઉ પણ આવ્યા છે, પરંતુ લાંબા ગાળાનું સ્થાયી ઉકેલ નથી આવ્યો.આ ઘટના મોરબી જિલ્લામાં પાણી પુરવઠાની વ્યવસ્થા અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા શ્રમિકોની મૂળભૂત સુવિધાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જલ જીવન મિશન જેવી યોજનાઓ હેઠળ નળ જોડાણ વધારવા અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ ફરી એકવાર તીવ્ર બની છે. જો કે પાણી પુરવઠાની જવાબદારી સંભાળતા કોન્ટ્રાકટર સ્થળ પર દોડી ગયા હતા અને તેમણે વહેલી તકે પાણી પુરું પાડવાની ખાતરી આપી હતી અને લોકોએ જે પીડા ભોગવી એ હવે નહીં ભોગવવી પડે તેવી ખાતરી મળ્યા બાદ લોકોએ ચક્કાજામ ખોલ્યો હતો. વર્ષામેડી સાથે સતત અન્યાય જ થાય છે વર્ષામેડી ગામમાં છેલ્લા કેટલાય મહિનાથી પાણી નથી મળતું. છેવાડાનું ગામ હોવાના કારણે ક્યારેય તંત્ર ધ્યાન આપતું નથી. અગાઉ રજૂઆત કરી, અલગ અલગ કચેરીમાં ધક્કા કર્યા હતાં છતાં કોઇ જ નિવેડો ન આવતાં જેના કારણે અમે અમારી માગ સરકાર સુધી પહોંચાડવા ચક્કાજામ કરવા મજબુર બન્યા છીએ જો તંત્ર અમારી વાત નહી સાંભળે તો ફરી રોડ બંધ કરી દેશું. > અમિતભાઇ ચાવડા, સ્થાનિક રહેવાસી. રોજ બહારથી પાણી લાવવું કેમ પોસાય?અમે ન્યુ નવલખીમાં રહીએ છીએ અહી કેટલાય મહિનાથી પાણી નથી મળતું પાણી પીવાથી લઇ ઘરકામના કામ માટે પાણી દુર આવવું પડે છે. હવે તો ઉનાળો આવ્યો આખો દિવસ પાણી વીના કેમ જીવવું અમે તંત્ર પાસે પાણી અપાઇ તેવી માંગણી કરીએ છીએ. > ભાનુબેન, સ્થાનિક મહિલા ગામમાં દોઢ કિમી દૂર સમ્પ હોવા છતાં પાણી ન મળતા વિતરણ વ્યવસ્થા સામે સવાલવર્ષામેડી અને ન્યુ નવલખી ગામની વચ્ચે દોઢ કિમી દુર પાણીનો સંપ આવેલ હોય જ્યાંથી ગામમાં નજીકના ઘર સુધી પાણી મળતું હોય પણ બાકીના વિસ્તારમાં પાણી વિતરણ કેમ નથી થતું તે સવાલ છે. ગામ લોકોના મતે સંપમાં જે પાણી વિતરણ માટે મોટર નથી, જેના કારણે આ લોકોને પાણી મળતું નથી. તેથી તો ખરેખર જો માત્ર એક મોટર વાંકે ગામ લોકો પાણી વિહોણા રહેતા હોય તો આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરી પાણી ની વ્યવસ્થા ધરાઇ તેવી માંગ ઉઠી છે
વડીયાના મહિલા સરપંચની ધમકી:વિકાસ કામો પ્રગતિમાં હોય ત્યાં જશો તો ફરિયાદ કરી દઈશ
સાયલા તાલુકાની 3000ની વસ્તી ધરાવતા વડીયા ગામે છેલ્લા કેટલાક દિવસથી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં ગેરરીતિ અને ગેર વ્યાજબી વાઉચરો બનાવતા હોવાના આક્ષેપ સાથે રજૂઆતો થવા પામી છે. વધુમાં નદી વિસ્તારમાં ચાલતા પાણીના સંપના કામ બાબતે અમરશીભાઈ હેમુભાઇએ ફોટા પાડેલા તો સરપંચ દ્વારા ફોન કરીને ધમકાવેલ કે કેમ કામ પર ગયેલા અને ફોટા પાડેલા છે. મજૂરો સાથે માથાકૂટ કરે છે. આ બાબતનો ગ્રામજનોએ ફોનમાં રેકોડિંગ હોવાનું જણાવ્યું હતું. અને મહિલા સરપંચે સાયલા પોલીસને લેખિત ફરિયાદ પણ આપી હોવાનું જણાવ્યું હતું. સરપંચ દ્વારા ખોટી ફરિયાદો કરી ગ્રામ પંચાયતના કામમાં ગેરરીતિ કરતા હોવાનું જણાવીને આ બાબતે યોગ્ય તપાસ કરવા ગ્રામજનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં વડીયા ગામે ગ્રામ પંચાયતના સરપંચ જે કોઈ વિકાસના કામ ગામમાં શરૂ થવા પામ્યા છે. અને તે કામ બાબતની ગુણવત્તા અને તપાસ કરતા જાગૃત નાગરિકોને મહિલા સરપંચ તારાબેન મનુભાઈ વસાવા ધમકી આપતા હોવાના આક્ષેપો સાથે વડીયાના બાબુભાઈ ચતુરભાઈ, હમીરભાઈ ગોવિંદભાઈ, જોરુભાઈ ધીરુભાઈ, રણજીતભાઈ મનસુખભાઈ, કિરણભાઈ દુમાદિયા સહિતના ગ્રામજનોએ સાયલા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને મહિલા સરપંચ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. ગ્રામ પંચાયતના કામો પ્રગતિમાં હોય ત્યાં જવાનું નહીં અને જો તમે કોઈ નાગરીક કામ ઉપર આંટો મારવા જશો તો તમારી વિરૂધ્ધ પોલીસમાં લેખિત ફરીયાદ આપી દઈશ આવી ધમકી આપતા હોવાની લેખિત રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા અનેક કામોમાં ગેરરીતિ થતી હોવાની પણ રજૂઆતો પણ કરવામાં આવી હતી.
આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ:થાનગઢના નવાગામમાં 4,500ની વસ્તી વચ્ચે સબ સેન્ટરનું બિલ્ડિંગ જર્જરિત
થાનગઢ તાલુકાનું સૌથી મોટું ગામ ગણાતા નવાગામમાં આવેલું પીએચસી (PHC) સબ સેન્ટર હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. બિલ્ડિંગ અતિ જર્જરિત હોવાથી આરોગ્ય કેન્દ્રને તાળા મારી દેવામાં આવ્યા છે. હાલમાં ગામના બાળકોના રસીકરણ અને સગર્ભા મહિલાઓની તપાસ જેવી મહત્વની કામગીરી સ્થાનિક શાળામાં કરવામાં આવી રહી છે. પાયાની સુવિધાઓના અભાવે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 4,500થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં આરોગ્ય જેવી પાયાની જરૂરિયાત માટે લોકોએ વલખાં મારવા પડે છે. ગ્રામજનોની માંગ છે કે સબ સેન્ટરનું નવું બિલ્ડિંગ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. જો નવું મકાન અને સુવિધાઓ ઉપલબ્ધ થાય તો રસીકરણ અને અન્ય સારવાર સમયસર મળી રહે. લોકમાંગ ઉઠી છે કે તંત્ર જાગે અને આ જર્જરિત મકાનની જગ્યાએ આધુનિક સુવિધાવાળું કેન્દ્ર ઉભું કરે. કોઈ બોર્ડ કે ડોક્ટરોના સંપર્ક નંબર પણ લખવામાં આવ્યા નથીઆયુષ્માન ભારત હેઠળ ચાલતા આ કેન્દ્રથી લોકોમાં રોષ છે. શાળામાં ચાલતી કામચલાઉ ઓપીડીનો કોઈ સમય નક્કી નથી. ત્યાં કોઈ બોર્ડ કે ડોક્ટરોના સંપર્ક નંબર પણ લખવામાં આવ્યા નથી. ગ્રામજનોની ફરિયાદ છે કે હોસ્પિટલના સમય વિશે જાણકારી ન હોવાથી તેમને વારંવાર ધરમધક્કા ખાવા પડે છે. જવાબદાર તંત્ર દ્વારા સામાન્ય સૂચના બોર્ડ મારવાની પણ તસ્દી લેવામાં આવી નથી.
સુરેન્દ્રનગર મહાપાલિકાની સોનાની લગડી સમાન સરકારી જમીનને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. વઢવાણ 80 ફૂટ રોડ પર કરોડોની કિંમતી જમીન હવે બંગલા કે અન્ય હેતુ માટે વાપરવાની તૈયારી ચાલી રહી હોવાના આરોપો ઉઠ્યા છે. મનપાની હદમાં વઢવાણ 80 ફૂટ રોડ પર સોનાની લંગડી સમાન જમીન આવેલી છે. પરંતુ હવે આ જ જમીન ઉપર મ્યુનિસિપલ કમિશનરનો સરકારી બંગલો બનાવવાની યોજના બનાવાઈ રહી હોવાનો આરોપ સ્થાનિક નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બાબતે મનપા દ્વારા હેતુ ફેરફાર અંગેની નોટિસ અખબારમાં પ્રકાશિત કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ પ્રશ્ને વઢવાણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ અંગે વિક્રમ દવેએ જણાવ્યું હતું કે શિક્ષણ અને જાહેર હિત માટે ફાળવેલી સરકારી જમીન ઉપર અધિકારીઓના બંગલા ઉભા કરવામાં આવશે તો સુરેન્દ્રનગર અને વઢવાણના નાગરિકો શાંતિથી બેસી નહીં રહે. જરૂર પડશે તો આ મુદ્દે જનઆંદોલન ઊભું કરવામાં આવશે. 3300 વાર જમીનની કિંમત 25 કરોડ આ જમીન 1995 ટીપી સ્કીમમાં પછાત વર્ગના શિક્ષણ હેતુ માટે હતી પરંતુ 25 કરોડની 3300 વાર જમીન એક સંસ્થાને આપવા વઢવાણ પાલિકાની ભાજપ બોડીએ 2014માં ઠરાવ કર્યો હતો. 2015માં પાલિકા પ્રમુખ વિક્રમ દવેએ આ ઠરાવ રદ કર્યો પરંતુ 2018માં ભાજપની બોડી આવતાં કમિશ્નરને અપીલ કરતાં વિક્રમ દવેનો ઠરાવ માન્ય રખાયો હતો. સયુંકત પાલિકામાં ભાજપ પસત્તા પર આવતા એ જ સંસ્થાને જમીન આપવા ઠરાવ થયો હતો પરતું પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલ આપના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે દ્વારા વાંધા અરજી કરાઈ હતી. હાલ વહીવટદાર શાસનમાં જમીન હેતુફેર માટે પ્રયાસ કરાયો છે તેનો પણ વિરોધની ચીમકી વિક્રમ દવેએ ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગરમાં આંગણવાડી મહિલા ઓએ આઇસીડીએસ વિભાગમા લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આંગણવાડી કાર્યકર આઇસીડીએસ આપેલી કામગીરી સરકારી પોગ્રામોમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની હાજરી, પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં જરૂરી એન્ટ્રી, તેમજ તમામ રજીસ્ટર કામગીરી ઓફલાઇન પદ્ધતિથી કરાય છે. નવા સાત જેટલા એપ્લિકેશનનો સરકાર દ્વારા અમલમાં મૂકી તે એફઆરએસ અને એવીટી એપ્લિકેશન તો કોઈ પણ રીતે બરાબર ચાલતા નથી. મોટાભાગનો સમય આ ડાટા એન્ટ્રીમાં જ પસાર થાય છે. સરકારે આપેલ મોબાઈલ ઘણા સમયથી બંધ હાલતમાં છે. પોતાના મોબાઈલથી તમામ ઓનલાઈન કામ કરી રહ્યા હતા. જે હવે હેંગ થવા લાગ્યા છે તે પણ ચાલતા નથી. કેન્દ્ર સરકાર દ્વારા દોઢ વર્ષથી રાજ્ય સરકારને 56 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપેલ હોવા છતાં નવા મોબાઈલની વ્યવસ્થા થતી નથી. બજેટમાં પણ આટલી બધી કામગીરીમાં વધારો કરવા છતાં વેતન વધારો જાહેર કરવામાં આવ્યો નથી. હાલના સમયે એવીટી તેમજ અન્ય ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનમાં સતત ટેકનિકલ ખામીઓ, લોગિન / પાસવર્ડ સંબંધિત મુશ્કેલીઓ, સર્વર સમસ્યાઓ, ઓટીપી, તથા એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય ન કરતી હોવાના કારણે, હાજર સંખ્યા કરતાં પણ ઓછા હેડ કાઉન્ટ દેખાડે છે. ખરેખર તો એફઆરએસમાં લાભાર્થીઓએ ખૂબ લાંબો સમય સુધી રાહ જોઈને ઊભા રહેવું પડે છે. ઓનલાઈન કામગીરી માટે બળજબરી ન કરવામાં આવે તેવી માંગ છે. જો તેમ છતાં પ્રેશર કરવામાં આવશે તો અમો આગળ ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું. આંગણવાડી વર્કર અને હેલ્પર છે મશીન તો નથી આંગણવાડી દ્વારા કદાપી કામનો ઇનકાર કરેલ નથી. સરકારના તમામ કાર્યક્રમમાં પણ સહયોગી બનેલ છે. આંગણવાડી વર્કર અને હેલ્પર એક મહિલા છે અને માનવ જીવ છે મશીન તો નથી જ. - પાયલબેન
PGVCL એક્શન મોડમાં:40 વીજ કનેક્શનના સીધા થાંભલામાં જોડાણ લીધા, રૂ. 45.12 લાખનો દંડ
પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા વીજચોરી ડામવા માટે એક અભૂતપૂર્વ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી વિભાગીય કચેરીના ભાણેજડા ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત વીજ ચેકિંગ હાથ ધરીને તંત્રએ વીજચોરોમાં ફફડાટ મચાવી દીધો હતો. ભાણેજડા ગામમાં પ્રથમવાર વીજ ચેકિંગ, 101 ઘરમાંથી વીજચોરી પકડાઈ હતી જેમાં 40 કેસ તો સીધા જ જોડાણ વગરની વીજચોરીના હતા. કુલ રૂ.45.12 લાખનો દંડ કરાયો હતો. વીજ કંપની માટે અત્યાર સુધી આ વિસ્તાર વીજ તપાસના દાયરાથી બહાર રહ્યો હતો. આ ઓપરેશનને સફળ બનાવવા અધિક્ષક ઇજનેર એન. એન. અમીનની રાહબરી હેઠળ, પીજીવીસીએલ દ્વારા પોતાની કુલ 9 ટીમોમાંથી 20 ટીમ માત્ર આ એક જ ગામમાં તૈનાત કરવામાં આવી હતી. આ ઓપરેશનની ગંભીરતાને જોતા 13 એસઆરપી જવાનો, 21 પોલીસ કર્મી અને 4 વીડિયોગ્રાફરના કાફલા સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા. ભાણેજડામાં 189 જોડાણોની તપાસ દરમિયાન 32 વીજચોરીના કેસ પકડાયા હતા, જેમાં રૂ.14.72 લાખનો દંડ ફટકારાયો હતો. ભાણેજડા ઉપરાંત કોરડા, મોટા ભાડલા, હડાળા, દેવપરા અને ચુડા વિસ્તારમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 664 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી. કોરડા ગામમાં 161 જોડાણોની તપાસમાં 20 કેસ પકડાયા અને રૂ. 12.20 લાખનો દંડ અપાયો. સમગ્ર ઓપરેશનના અંતે કુલ રૂ. 45.12 લાખના દંડના બિલ ફટકારવામાં આવ્યા છે.
સસ્તા અનાજના દુકાનદારો લડાયક મૂડમાં:બાકી કમિશન અને વધારાની કામગીરી મુદ્દે અસંતોષ ફેલાયો
જિલ્લામાં લાભાર્થીઓને રાશન વિતરણ કરતી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હવે સરકારની નીતિઓ સામે ઉતર્યા છે. ફેરપ્રાઇઝ એસોસીએશનના નેજા હેઠળ દુકાનદારોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. દુકાનદારોની મુખ્ય રજૂઆત છે કે સરકાર દ્વારા તેમને માત્ર કમિશન એજન્ટ ગણીને કામગીરી તો લેવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય અને સમયસર વળતર ચૂકવવામાં આવતું નથી. જે મોંઘવારીના સમયમાં તેમના માટે આર્થિક સંકટ સમાન છે. અમારે દુકાનદારોને પોષણક્ષમ વળતર ન મળવાના કારણે અમે ખૂબ જ હાલાકી ભોગવવીએ છીએ. મળવા પાત્ર કમિશન સમય મર્યાદામાં મળે એ પરિપત્ર મુજબ પૂરતું મળે તેવી માંગ છે. દુકાન ધારકોની આર્થિક સ્થિતિ વિકટ બની છેરાજ્ય સરકાર અને કેન્દ્રનું કમિશન ત્રુટક આવે છે, નિયમિત મળતું નથી. સરકારની હાઇ સીબીડીસીની કામગીરી આપવામાં આવી તેનું વળતર કેમ નહીં. આમ કમિશન મળતું નથી. સરકારને રજૂઆત કરી છે કે મળવા પાત્ર કમિશનની સ્પષ્ટતા થવી જોઇએ. કમિશન અનિયમિતતાને કારણે દુકાન ધારકોની આર્થિક સ્થિતિ વિકટ બની ગઈ છે.- નારાયણભાઇ ચાવડા, સસ્તા અનાજ દુકાનદાર પ્રમુખ
સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે કરોડોના ખર્ચે બનાવેલા 188 આવાસ હાલમાં યોગ્ય તકેદારીના અભાવે ખંડેર બન્યા છે. જિલ્લાના દેગામમાં 70, પાટડીમાં 48, જૈનાબાદમાં 32 અને માલવણમાં 38 આવાસ મળી કુલ 188 આવાસ બનાવાયા હતા. 2005-06માં બનેલા આ આવાસોમાં અગરિયાઓને ઘણા સમય સુધી ન ફળવાતા ખંડેર બની ગયા હતા. 2 વાર રિનોવેશન કરવા છતાં અગરિયા રહેવા નથી આવ્યા. અગરિયાઓએ જણાવ્યું હતું કે, રહેવા જેવા મકાનો જ નથી, હવે તો સાવ ખંડેર બની ગયા છે. અમારે નથી જોઇતું. હાલમાં આવાસોમાં તિરાડો પડી છે. કેટલાક તો તૂટીને જમીનદોસ્ત થઇ ગયા હતા. 2005-06માં નમક મજદૂર આવાસ યોજના હેઠળ મીઠાં સાલ્ટ શેષ ફન્ડમાંથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અંદાજે રૂ. દોઢ કરોડના ખર્ચે 188 આવાસ બનાવાયા હતા. જેમાં એક રૂમ, રસોડું અને સંડાસ-બાથરૂમની વ્યવસ્થા હતી. આ આવાસોમાંની લાઈટો પણ અસામાજિક તત્વો ચોરી કરીને લઈ ગયા હતા. બારી-બારણાં પણ અસામાજિક તત્વો તોડી ગયાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કોન્ટ્રાક્ટરનું તકલાદી કામ, તંત્રની બેદરકારી કોન્ટ્રાકટરના તકલાદી કામ, તંત્રની બેદરકારીના લીધે એક પણ અગરિયા અહીં રહેવા નથી આવ્યા. અહીં રહેવાનું તો દૂર પણ અહીં કોઈ આવી શકે એવી પણ પરિસ્થિતિ નથી.- દેવાભાઇ સાવડીયા, અગરિયા આગેવાન આગળ શું કરી શકાશે તે અંગે તપાસ કરાશે આ આવાસો સરકારના સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા. અગરિયાઓને આવાસો સોંપાયા છે કે નહીં અને જે તે સમયે સોંપાયા હોય તો અહીં અગરિયાઓ કેમ રહેવા ન આવ્યા એની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.- સતિષભાઇ પારેજીયા, જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મૂળીના કળમાદ ગામના ખેડૂત પુત્ર નરેન્દ્ર રાઠોડે 840 રેન્ક અને લીંબડીના આંગણવાડી કાર્યકરના પુત્ર જીતકુમાર નમ્હાએ 606 રેન્ક સાથે અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામીને રાષ્ટ્રીય ફલક ઉપર ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. લીંબડીમાં રહેતાં આંગણવાડીની મહિલા કાર્યકર રમીલાબેન નમ્હાના પુત્ર જીતકુમારે બીજીવાર યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી છે. જીતના પિતાનું વર્ષ-2009માં અવસાન થયું હતું. વિધવા માતા, નાના, નાની, મામા, મામી સાથે રહીને ઉછરેલા જીતે નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. જીતે જણાવ્યું કે, અલગ-અલગ જગ્યાએ નોકરી કર્યા પછી આઈઆઈટીનું 17 લાખનું પેકેજ છોડી સનદી સેવાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો. દેશ દુનિયામાં બનતી સાંપ્રત ઘટનાઓ અને અન્ય બાબતોની જાણકારી માટે નિયમિત વાંચન કરવું જરૂરી છે. વર્ષ 2024માં આપેલી પરીક્ષામાં ચોથા પ્રયત્ને 929 રેન્ક મેળવ્યો હતો વધુ એક પ્રયાસ કરી સારો રેન્ક મેળવવાનું બીડું ઝડપ્યું હતું. દેશની સૌથી અઘરી યુપીએસસીની પરીક્ષા 929 રેન્ક સાથે પાસ કર્યા પછી 3 માસ RIMSમાં ફરજ બજાવી હતી. વધુ એક વખત સારો રેન્ક મેળવવા માટે ઈન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ કોર્સ છોડી દિલ્હી જઈ તૈયારી શરૂ કરી હતી. રોજ 14 કલાક વાંચન કરતો હતો. પરીક્ષા નજીક આવી એટલે વાંચનનો સમય વધારી દીધો હતો. ખુબ મહેનત બાદ લેવાયેલી યુપીએસસી 2025 પરીક્ષામાં પાંચમાં એટેમ્પટ અને ચોથી મેઈન્સમાં 606 રેન્ક સાથે પાસ કરી સફળતા મળી છે. જીતકુમાર નમ્હા, લીંબડી 500ના માસિક પગારે આંગણવાડીમાં નોકરી શરૂ કરી હતી પુત્રની સફળતા અંગે માતા રમીલાબેન વસંતભાઈ નમ્હાએ જણાવ્યું કે, મેં વર્ષ-2003માં રૂ.500ના પગારે આંગણવાડીમાં કામ શરુ કર્યું હતું. પુત્ર જીતે કારકીર્દીને ખૂબ ગંભીરતાથી લીધી છે. સમગ્ર પરિવારે અભ્યાસ માટે શાંત વાતાવરણ પૂરું પાડયું હતું જેમાં તેણે ખૂબ એકાગ્રતાથી અભ્યાસ કર્યો 929 રૅન્ક મેળવ્યા પછી વધુ એકવાર સારો રેન્ક લાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આખરે તેને જે નિશ્ચય કર્યો તેમાં સફળતા મેળવી છે.
સતવારા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો:લીંબડીમાં 2 હજાર લોકોએ 16 યુગલને આશિર્વાદ આપ્યા
લીંબડીમાં સતવારા સમાજનો 29મો સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. સંતો, મહંતો, રાજકીય, સામાજિક આગેવાનો સહિત 2,000 લોકો હાજરીમાં 16 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સમસ્ત સતવારા સમાજના પ્રમુખ શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં લોકોને એવું હતું કે સમુહ લગ્નમાં દિકરી, દિકરાના પ્રસંગ કરીશું તો સમાજ શું કહેશે? પરંતુ હવે બધું જ બરાબર ચાલી રહ્યું છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે અન્ય સમાજના લોકોએ પણ સમુહ લગ્નની પહેલ કરવી જોઈએ. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે દાતાઓના સહયોગથી 16 દિકરીઓને કરિયાવરરૂપે જીવનજરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવી છે. મોટા મંદિરના મહંત લાલદાસબાપુ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં લગ્નને પવિત્ર બંધન મનાય છે. સતવારા સમાજે 16 દિકરીઓને વેદ-વિધિથી લગ્ન કરાવ્યા તેનો આનંદ થયો છે. સમુહ લગ્ન પ્રસંગે સંતો, મહંતો, રાજકીય અને સતવારા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ધોળીધારના યુવકને છરી સાથે ઝડપી લીધો હતો. સોલડી ટોલનાકા પાસે બાવળી રોડ ઉપર અવાવરૂ જગ્યામાં બે વર્ષથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. ધ્રાંગધ્રા કાપેલી ધાર વિસ્તારમાં રહેતો મેરૂભાઇ વીઠ્ઠલભાઇ વાઘેલા પણ અહીં યુવતી લાવીને ધંધો કરાવતો હતો. ગ્રાહક આવ્યા ત્યારે મેરૂભાઇએ કહ્યું કે, આ મારા ગ્રાહક છે. જેને લઇ બોલાચાલી થતાં (શકીનાબેન) નામ બદલેલ છે. મેરૂભાઇને બે થપ્પડ મારી દીધી હતી. આથી ઉશ્કેરાઇ છરી કાઢીને 3 ઘા મારતાં 30 વર્ષીય યુવતીનું મોત થઇ ગયુ હતું. બરડામાં 2 ઘા અને છાતીમાં દોઢ ઇંચનો ઘા છેક હ્દય સુધી પહોંચી જતાં જીવલેણ સાબિત થયો હતો. યુવતી અમદાવાદથી ઇકોમાં આવી હતીટોલનાકાની બાજુમાં આ ગોરખધંધા બે વર્ષથી ચાલતા હતા.યુવતીઓ રાત્રીના સમયે અમદાવાદથી ઇકો ગાડી લઇને આવતી હતી.સવારે પરત અમદાવાદ જતી રહેતી હતી. યુવતીઓ અવાર-નવાર બદલાતી રહેતી હતી. ગોરખધંધાને કારણે આજુબાજુના લોકો પણ ત્રાસી ગયા હતા. અંતે પાપનો ઘડો ફૂટી ગયો હતો.
ચોર સોનાનો દોરો ચોરી કરી ફરાર થયો:રિક્ષામાં વૃદ્ધા સાથે રકઝક કરી સોનાના દોરાની તફડંચી
પાલનપુર શહેરમાં એક વૃદ્ધા સાથે રિક્ષામાં બેઠા બાદ રકઝક કરી ધ્યાન ભટકાવી ગળામાં પહેરેલો સોનાનો દોરો ચોરી કરી ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાઈ છે. પાલનપુરના ગોબરી રોડ પર આવેલી જનકપુરી સોસાયટીમાં રહેતા 70 વર્ષીય લાજવંતીબેન ગોપીચંદ વાસવાણી 7 માર્ચના રોજ સવારે સમાજના બેસણામાં હાજરી આપવા ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ગઠામણ સર્કલ ખાતે આવેલી બનાસકાંઠા મર્કન્ટાઇલ બેંકમાંપાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા. બેંકમાંથી બહાર આવી તેઓ ગઠામણ સર્કલ પાસે ફળની લારી નજીક ઉભા હતા ત્યારે આશરે સાડા દસ વાગ્યે એક તેઓ રિક્ષામાં બેઠા હતા. રિક્ષાની પાછળની સીટમાં પહેલાથી જ બે મહિલાઓ બેઠેલી હતી જ્યારે ડ્રાઈવર પાસે એક યુવાન બેઠેલો હતો. થોડીવારમાં રિક્ષાચાલકે તે યુવાનને પાછળ બેસાડી દીધો હતો. આ બાબતે વૃદ્ધાએ વિરોધ કરતાં રિક્ષાચાલકે બોલાચાલી શરૂ કરી હતી. રિક્ષાચાલકે વૃદ્ધાને રિક્ષામાંથી ઉતારી દીધા હતા.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ભીલવણ નજીક વાહનની ટક્કરે ખેડૂતનું મોત નીપજ્યું
પાટણ–ડીસા હાઈવે પર ભીલવણ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરથી એક ખેડૂતનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો. હારિજ તાલુકાના કાંસીયાપુરા (માંસા) ગામના રહેવાસી રૂપસિંહજી જગમાલજી ઠાકોર (ઉ.વ. 41) ભીલવણ ગામે ખેતી કામ કરતા હતા. 7 માર્ચે સાંજે આશરે 7:00 તેઓ ભીલવણ ગામના બસ સ્ટેન્ડ નજીક પાટણ–ડીસા હાઈવે પર ચાલતા જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટક્કર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી હતી.
અપહરણનો મામલો આવ્યો સામે:હિંમતનગરના બે ગામમાંથી બે સગીરાનું અપહરણ કરાયું
હિંમતનગર તાલુકાના બે ગામમાંથી બે બનાવમાં બે સગીરાનું અપહરણ થતાં એ ડિવિઝન અને ગાંભોઈ પોલીસમાં મોડાસા તાલુકાના અને મેઘરજ તાલુકાના યુવાનો સામે બે ફરિયાદ નોંધાવી હતી. રાયગઢથી હિંમતનગર તાલુકાના ગામની સગીરાનું મોડાસાના ડુઘરવાડા ખાતે રહેતો મીહીર મહેન્દ્રભાઈ પરમાર (મૂળ રહે. મુનાઈ તા.ભિલોડા) લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવા અંગે સગીરાના પિતાએ આશંકા વ્યકત કરતાં તેની સામે ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અપહરણના બીજા બનાવમાં હિંમતનગરના ગઢોડામાંથી મેઘરજ તાલુકાના પાણીબાર ગામનો જયેશ બામના નામનો યુવક 16 વર્ષ 11 માસની સગીરાનું લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવા અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા તેની સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
ખેડતસીયા રોડ પર બનાવ:અહીં કેમ ઉભો છો કહી યુવક ઉપર લાકડી, ચપ્પુથી હુમલો
હિંમતનગરના ખેડતાસીયા રોડ પર મહાવીરનગરમાં ટ્રેક્ટર મૂકી તરબૂચ ટેટીનો ધંધો કરી રહેલ યુવકને અન્ય શખ્સે ટ્રેક્ટર લઈ આવી અહીં કેમ ઉભો છે આ જગ્યા અમારી છે ટ્રેક્ટર હટાવી લે કહી લાકડીઓ ફટકારી ચપ્પુ મારતાં દોડી આવેલ અન્ય બે જણાને લાકડીઓ ફટકારી હતી. મહાવીરનગરમાં એસબીઆઈના એટીએમ આગળ ટ્રેક્ટર ઉભું રાખી તરબૂચ ટેટીનો ધંધો કરી રહેલ વિશાલ વાઘેલા નામના યુવકને બીજું ટ્રેક્ટર લઈ આવેલા ગુલાબભાઈ મફાભાઈ વાઘેલા તેમની પત્ની શારદાબેન અને દીકરો રાહુલ ત્રણેય જણાએ તું કેમ અહીં ઉભો છે તારું ટ્રેક્ટર લઈ લે, આ જગ્યા અમારી છે તેમ કહી અપશબ્દો બોલતાં વિશાલે ના પાડતાં લાકડીઓ ફટકારી તરબૂચ કાપવાના ચપ્પુ વડે માથામાં ઘા કરી ઈજાઓ પહોંચાડી હતી. વિશાલને બચાવવા નજીકમાંથી દોડી આવેલ તેના મામા સુરેશભાઈ શંકરભાઈ વાઘેલા અને અતુલકુમારને પણ લાકડીઓ ફટકારી હતી. વિશાલ અને અતુલકુમારને માથામાં ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર અર્થે મોકલ્યા બાદ સુરેશભાઈએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાંતવેલ નાની સિંચાઈ યોજનાના જળાશયની નહેરની મરામત ન કરતાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. જળાશયમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને ઉનાળુ સિઝનની વાવણી માટે જળાશયમાંથી નહેર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માંગણી ઉઠી છે. પ્રાંતવેલ જળાશયના પાણીથી પ્રાંતવેલ નવા મુવાડા કમરાજ ગોતાપુર ઉભરાણ ટુણાદર મગનપુરા ગોકુલપુરા જેવા ગામડાઓના 450 કરતાં વધુ ખેડૂતોની 750 હેક્ટર કરતાં વધુ જમીન સિંચન થતી હોવાનું પૂર્વ સરપંચ અશોકસિંહે જણાવ્યું હતું. વધુમાં આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ અગાઉ અરવલ્લી જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા નહેરની મરામત અને સફાઈ કામગીરી કરાઇ હતી. ત્યારબાદ સિંચાઈ વિભાગ દ્વારા નહેરની યોગ્ય જાળવણી અને જંગલ કટીંગ જેવી કામગીરી ન કરાતાં નહેરમાં મોટી માત્રામાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. નાની સિંચાઇ યોજનાના આ જળાશયમાં શિયાળુ પાકની વાવણી માટે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા પાણી ન છોડાતાં જળાશયમાં હાલ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ઉનાળુ પાકની સિઝન માટે નહેરમાં તાત્કાલિક સફાઈ કામગીરી અને મરામત કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માગણી ઉઠી છે.
યુદ્ધની અસર:દૂધસાગર ડેરીમાં ગેસમાં 40% કાપથી બે પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ
અમેરિકા–ઇઝરાયેલ દ્વારા ઈરાન સામે છેડાયેલા યુદ્ધના પગલે ખાડી દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે ગેસ સહિતના ઇંધણમાં શોર્ટેજની અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને આપવામાં આવતા ગેસ પુરવઠામાં 40 ટકા સુધી કાપ મૂકાતાં મહેસાણાની દૂધસાગર ડેરીના ઉત્પાદન પર તેની અસર થવાની શક્યતા ઉભી થઈ છે. હાલમાં દૂધસાગર ડેરીમાં દૈનિક 25.86 લાખ લિટર દૂધના પ્રોસેસિંગ માટે લગભગ 40 હજાર ક્યુબીક મીટર ગેસની જરૂરિયાત રહે છે, પરંતુ કાપ બાદ હવે માત્ર 24 હજાર ક્યુબીક મીટર ગેસ મળવાની સ્થિતિ છે. ડેરીમાં દૂધ પેશ્ચ્યુરાઈઝેશન, સ્ટીમ જનરેશન, મિલ્ક પાવડર, છાશ અને ઘી સહિતના ઉત્પાદનો માટે ગેસ આધારિત બોઇલરનો વ્યાપક ઉપયોગ થાય છે. મહેસાણા અને પાટણ જિલ્લો તેમજ અડધો ગાંધીનગર જિલ્લાને આવરી લેતી આ ડેરીમાં આવતા દૂધમાંથી રોજ આશરે 19 લાખ લિટર દૂધને પાંચ પાવડર પ્લાન્ટમાં પ્રોસેસ કરીને અંદાજે 200 ટન જેટલો મિલ્ક પાવડર બનાવવામાં આવે છે. ગેસ સપ્લાયમાં ઘટાડાને કારણે બે પ્લાન્ટ બંધ કરવાની સ્થિતિ સર્જાય તો મિલ્ક પાવડરનું ઉત્પાદન 200 ટનથી ઘટીને અંદાજે 150 ટન સુધી આવી શકે છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે, તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ લેવામાં આવશે. ગેસ પુરવઠામાં કાપ બાદ ડેરી પાસે ડ્યુઅલ બોઇલરની વ્યવસ્થા છે અને જરૂરી હોય તો ફર્નેસ ઓઈલ આધારિત બોઇલર શરૂ કરવાની વિકલ્પ વ્યવસ્થા અઠવાડિયામાં કાર્યરત થઈ જશે. જેથી મિલ્ક પાવડર સહિતનું ઉત્પાદન યથાવત્ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.
ભાસ્કર એનાલિસિસ:ધોરણ-10 સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર થોડું અઘરું નીકળતાં છાત્રોને માર્કસ ઓછા આવવાનો ડર
ધો. 10માં સ્ટાર્ન્ડડ ગણિતનું પેપર લેન્થી અને થોડું અઘરું પૂછતાં હોંશિયાર વિદ્યાર્થીઓને પણ ટકાવારી ઓછી આવવાનો ડર લાગી રહ્યો છે. જોકે,વિષય નિષ્ણાંતોનું કહેવું છે કે, પેપર લેન્ધી હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ પેપર પુરુ નહીં કરી શકયા હોય જેથી માર્કસ ઓછા આવી શકે છે.જ્યારે ધો. 12માં ગણિતુનું પેપર એકંદરે સરળ રહેતાં 80 ઉપર માર્કસ છાત્રો મેળવી શકે છે. શારદા વિદ્યાલય વડાલીના શિક્ષક અરજણભાઇ પરમારે જણાવ્યુ હતું કે, એમસીક્યુમાં 24માંથી 24 લાવવા અઘરા, બી સી અને ડી વિભાગમાં 80 ટકા ચોપડીમાંથી પૂછાયું હતું. પરંતુ પેપર લેન્ધી હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હોઇ શકે. જૈનાચાર્ય વિદ્યાલય હિંમતનગરના શિક્ષક ભીખાભાઇએ જણાવ્યું હતું કે, આ વખતે 80માંથી 80 લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. હોંશિયાર વિદ્યાર્થીઓને 70 માર્કસ આવી શકે છે. ધો. 10ની પરીક્ષા આપી રહેલ સૌમિલે જણાવ્યું હતું કે, પેપર લેન્ધી હતું અને અપેક્ષા કરતાં થોડું ભારે હતું. તો વિદ્યાર્થિની શ્રેયા પટેલે જણાવ્યું હતું કે,એમસીક્યુ થોડા અઘરા હતા પેપર લેન્ધી હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યશાસ્ત્રના પેપરમાં 443 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 7 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. આંકડાશાસ્ત્રના પેપરમાં 1735 હાજર અને 15 ગેરહાજર હતા. જ્યારે ધો. 12 વિજ્ઞાનપ્રવાહના ગણિતના પેપરમાં 825 વિદ્યાર્થીઓ હાજર હતા અને 4 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ધો. 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થી રોહને જણાવ્યું હતું કે, ગણિતના પેપરમાં એમસીક્યુ થોડા અઘરા હતા. જ્યારે પેપર એકંદરે સરળ હતું. અન્ય વિદ્યાર્થીની સંજનાએ જણાવ્યું હતું કે, પેપર ખૂબ સરળ હતું. એકાદ બે એમસીકયુને બાદ કરતાં એમસીક્યુ પણ સરળ હતા. હિંમત હાઇસ્કૂલ હિંમતનગરના ગણિતના શિક્ષક જયેશભાઇ બી.પટેલે જણાવ્યું હતું કે, એકંદરે પેપર સરળ હતું. એમસીક્યુમાં બે ચાર પ્રશ્નોને બાદ કરતાં બાકીના પ્રશ્નો ખૂબ સરળ હતા. વિદ્યાર્થીઓ 80 ઉપર માર્કસ મેળવી શકશે. પુસ્તક આધારિત પેપર હતું: શિક્ષકધોરણ 10 ગણિતના શિક્ષક કેશુભાઇ ચૌધરીએ કહ્યું કે, સ્ટાર્ન્ડડ ગણિતમાં પાંચેક એમસીક્યુ પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચારતાં કરી દે તેવા પૂછાયા છે. સ્ટાન્ડર્ડ પ્રમાણે જ ગણિતનું સ્ટાન્ડર્ડ પેપર છે. શિક્ષક ભરતભાઇ પંચાલે કહ્યુ કે, ચાર થી પાંચ એમસીક્યુ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓની ખરી કસોટી થઇ છે. જે પ્રશ્નોને સમજવા પડે તો જ ઉત્તર સુધી પહોંચી શકાય. બાકી પેપરના પ્રશ્નોમાં જનરલ વિકલ્પો હોઇ સરળ છે. પુસ્તક આધારિત પેપર છે.
ઇડરના કડીયાદરામાં પટેલ પરિવારે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. સ્વ. જેશિંગભાઈ બેચરભાઈ પટેલના નિધન બાદ તેમના પરિવારે બેસણાના પ્રસંગે હાજર રહેલા લોકોને 1000 રોપાનું વિતરણ કરી ગ્રીન શ્રદ્ધાંજલિ અર્પી હતી. માહિતી અનુસાર, કડીયાદરાના વતની જેશિંગભાઈ બેચરભાઈ પટેલનું 6 માર્ચના રોજ અવસાન થયું હતું. પિતાના નિધનથી પરિવાર શોકમાં હોવા છતાં પુત્ર ગીરીશભાઈ પટેલ અને તેમના પરિવારે પિતાની યાદને જીવંત રાખવા માટે સમાજને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાનો નિશ્ચય કર્યો હતો. તે મુજબ ગીરીશભાઈ પટેલે આશરે 18 હજારના ખર્ચે વિવિધ જાતિના 1000 છોડની ખરીદી કરી હતી. બેસણાના પ્રસંગે મોટી સંખ્યામાં સ્વજનો, સ્નેહીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન હાજર રહેલા દરેક વ્યક્તિને એક-એક છોડ અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે પિતાની સ્મૃતિમાં આપવામાં આવેલા આ છોડ તેમની જીવંત હાજરીનો અહેસાસ કરાવશે. કોઈ દેખાડા માટે નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવવા માટે આ પ્રયાસ કરાયો છે. તેમણે સૌને પોતાના આંગણે આ છોડ રોપી તેનું સંતાન સમાન જતન કરવા અનુરોધ કર્યો હતો. બેસણામાં ઉપસ્થિત લોકોએ સહર્ષ સ્વીકારી હતી અને છોડનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ નજીક આવેલાં પૌરાણિક બળિયાદેવ મંદિરના વહીવટને લઇને વિવાદ ઉભો થયો છે. મંદિરના સૌથી જુના ટ્રસ્ટી જીવીત હોવા છતાં તેમને મૃત બતાવીને કેટલાક નવા ટ્રસ્ટીઓ બનાવી દેવામાં આવતાં જુના ટ્રસ્ટીએ સુરતના સંયુકત ચેરિટેબલ કમિશનરની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના સંદર્ભે કોર્ટે હાલ પુરતો સ્ટે આપી 2 એપ્રિલના રોજ સુનાવણી કરવા માટે નોટિસ જારી કરી છે. બળિયાદેવ મંદિરના સૌથી જૂના ટ્રસ્ટી તરીકે કાર્યરત અશ્વિન માસ્ટરે કરેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર તેઓ બળિયાદેવ મંદિરમાં વર્ષોથી ટ્રસ્ટી તરીકે કાર્યરત છે પણ તેઓ મૃત્યુ પામ્યા હોવાનું દર્શાવીને મંદિરના ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ તરીકે નિમેષ નવીનચંદ્ર રાણા, હરેશ ડાહયાભાઇ રાણા, રમેશ મોહનભાઇ રાણા અને જીતેન્દ્ર ભગવતલાલ મોદીના નામ નવા ટ્રસ્ટીઓ તરીકે દાખલ કરવા માટે ભરૂચ ચેરીટી કમિશનરની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને ગ્રાહ્ય રાખીને નવા ટ્રસ્ટીઓનો ઉમેરો કરવામાં આવ્યો હતો. નવા ટ્રસ્ટીઓએ હાલમાં મંદિરમાં પુજારી તરીકે કામ કરતાં ભગતસિંહ પરમારના સ્થાને નવા પૂજારીની વરણી કરી છે. અશ્વિન માસ્ટર પોતે જીવીત હોવા છતાં તેમની મંજૂરી વિના નવા ટ્રસ્ટીઓ બનાવી દેવામાં આવતાં સુરતના સંયુકત ચેરીટેબલ કમિશનરની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં રજૂ થયેલાં દસ્તાવેજો અને પુરાવાઓના આધારે હાલના ચેરીટી કમિશનરે આપેલાં ચૂકાદા પર સ્ટે આપી દીધો છે. આખા મામલાની સુનાવણી હવે 2 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
ભરૂચના ડુંગરી વિસ્તારમાં વાલ્વ બગડી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહયો છે. થોડા સમય પહેલાં રૂા.2 કરોડના ખર્ચથી નવી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકીના વાલ્વમાં સમસ્યા ઉભી થતાં પાણીનો વેડફાટ થઇ રહયો હોવાની વિગતો સામે આવી છે. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.ડુંગરી વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું હતું ભરૂચ શહેરમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી વહેતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉનાળાના સમયમાં પાણીની ભારે જરૂરિયાત હોય છે ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો ચિંતાજનક બાબત છે. પાણી રસ્તા પર વહેતા લોકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે આ ઓવરહેડ પાણીની ટાંકી નલ સે જલ યોજના હેઠળ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. છતાં વાલ્વ ખરાબ થતા પાણીનો વેડફાટ થયો હોવાના કારણે લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
હુકમ:વીજતંત્રની બેદરકારીના કેસમાં 12.75 લાખ ચૂકવવા આદેશ
ડોળાસા નજીકના બોડીદર ગામે વીજ શોક થી મૃત્યુ પામનારા યુવાન ના વારસદારો વળતર ચૂકવવા આદેશ કરાયો છે. ગીરગઢડાના બોડીદર ગામના સ્વ.પ્રતાપભાઈ માલાભાઈ વાળાનુ પી.જી.વી.સી.એલ. ની ઘોર બેદરકારી અને નિષ્કાળજી ના કારણે થયેલ મૃત્યુ થયું હતું. કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ વી.ચાવડા ધ્વારા મરણજનાર ના વારસદારો વતી મહે.જુનાગઢના જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમા ફરીયાદ કરાતા રૂા.12,86,800/- નુ 9% લેખે વ્યાજ સહીતનુ વળતર તેમજ રૂા.5,000/- ખર્ચ પેટે ચુકવવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ગીરગઢડા તાલુકાના બોડીદર ગામના પ્રતાપભાઈ માલાભાઈ વાળાની સંયુકત માલીકીની જમીનમાં આવેલ પી.જી.વી.સી.એલ.નુ 10 કે.વી.નુ ટી.સી. આવેલ હોય અને આ ટી.સી. વીજ તંત્ર ની દેખરેદ વગર ભય જનક હતુ. અને પાવર લીક થતો હોય તા.21/6/2022 ના રોજ આ પ્રતાપભાઈ તેઓની વાડીએ ચાલીને જતા હતા. તેવા સમયે ટી.સી.ની બાજુમાથી પસાર થતા શોંટ લાગતા દૂર ફેંકાયા હતા. અને લોખંડ ના તાણીયા ઉપર પડતા ફરી પાછો શોઁટ લાગતા અકસ્માતે સ્થળ પરજ અવસાન થયું હતું.
નગરજનોમાં નારાજગી:ખેડામાં દોઢ મહિનામાં બીજીવાર પાણીની લાઈન તૂટતા હજારો લિટર પાણી વેડફાયુ
ખેડા નગરમાં કેટલાક સમયથી સ્થાનિક તંત્રની કામગીરીથી નગરજનોમાં નારાજગી જોવા મળી છે. સોમવારે બપોરે ખેડા નગરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી રસ્તા પર વેડફાયું હતું. ખેડામાં વોર્ડ નં. 7માં સોમવાર બપોરે સરદાર માર્કેટ પાસે અચાનક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી રસ્તામાં રેલાયું હતું. બપોરના સમયે રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો નગરમાં વગર ચોમાસે ચોમાસા જેવી સ્થિતિ થતી સર્જાઈ હતી. સરદાર માર્કેટ પાસે પાણીની પાઇપ લાઇન લીકેજ થતા પાણીનો રેલો સરદાર માર્કેટ થી બજાર સુધી પહોંચ્યો હતો પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાનું કારણ જાણવા મળ્યું નથી. નગરજનો તેમજ આજુબાજુના ગામોમાંથી લોકો ખેડા ખાતે બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. પાણીની લાઈન તૂટી જતા હજારો લિટર પાણી વેડફાયુ પછી કેટલાક સમય પછી પાલિકાના કર્મચારીઓએ લાઇનમાં થયેલા ભંગાણની મરામત હાથ ધરી હતી. અડધો કલાકમાં પાણીની પાઇપલાઇનનો સાંધો પૂર્યો હતો. જોકે અડધો કલાકમાં હજારો લિટર પાણી વેડફાયું હતું. ખેડામાં વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ થતું હોય છે. અગાઉ દોઢ મહિના પહેલા જ વડવાળી શેરીમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. જ્યારે પણ પાણીની પાઇપલાઇન તૂટે એટલે પાલિકા તેમાં સાંધાઓ પૂરીને સંતોષ માની રહી છે.
બેઠક:આરોગ્ય, સ્વચ્છતા, રોડ-રસ્તા સહિત વિકાસ કામો મુદ્દે જરૂરી નિર્દેશ અપાયા
બોટાદ કલેકટર કચેરી ખાતે સાંસદ અને ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાની ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. જેમાં સરકારની જન કલ્યાણકારી યોજનાઓ-કાર્યક્રમોની કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં અધ્યક્ષાએ જિલ્લાના વિવિધ વિભાગોના અમલી કરણ અધિકારીઓને તેમના વિભાગો દ્વારા જિલ્લામાં ફાળવેલા લક્ષ્યાંક અનુસાર થયેલી કામગીરી તથા બાકી કામોની વિગતો અને નાણાંકીય ખર્ચની વિગતોની માહિતી મેળવી હતી. આ દરમિયાન તબક્કાવાર તમામ યોજનાઓના અમલીકરણ સંદર્ભે પ્રશ્નો અંગેની પૂર્તતા અને કામો તથા બાકી રહેલા કામોના કારણો સહિત વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગો દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ નિમુબેન બાંભણિયાએ નાગરિકો સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. જિલ્લામાં લોકોને સ્પર્શતા આરોગ્ય, સ્વચ્છતા, રોડ રસ્તા, વિકાસના કામો, માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. દિશા કમિટીના બેઠકમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારની યોજનાના ગ્રાઉન્ડ લેવલ પર થયેલા કામોની વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ બેઠકમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, કલેકટર ડો. જીન્સી રોય, અધિક નિવાસી કલેકટરપી.એલ. ઝણકાત, અગ્રણી મયુરભાઈ પટેલ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ગરમીનો પારો આસમાને પહોંચે છે, ત્યારે આપણે ઠંડા પાણી અને છાંયડાની શોધ કરીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આકાશમાં ઉડતા એ નન્હા પક્ષીઓ ક્યાં જશે? આ પ્રશ્નનો સચોટ જવાબ આપ્યો છે અમિતભાઈ પટેલે. એક એવું વ્યક્તિત્વ જે પોતાનું કાર સર્વિસ સેન્ટર ચલાવવાની સાથે સાથે પ્રકૃતિના રક્ષક તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે. નવસારીના જલાલપોર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ અમીતભાઇને ગોરખ આમલીના વૃક્ષ દેખાયા હતા. આ ઐતિહાસિક વૃક્ષ આશરે 2000થી 3000 વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષ વિલુપ્ત ન થાય અને તેની યોગ્ય જાળવણી થાય તેના માટે અમિતભાઇએ તેના ફળ એકત્ર કર્યા હતા. જેમાંથી અમુક ફળ વન વિભાગને છોડ બનાવવા માટે આપ્યા હતા અને અમુક ફળ પોતાની પાસે રાખી મુક્યા. જેમાંથી તેમણે ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને રક્ષણ આપવા માટે માળા બનાવ્યા છે. આ માળા બનાવીને તેઓ અન્ય પર્યાવરણ પ્રેમી અને જેઓ ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકે તેવા લોકોને આપી રહ્યાં છે. જેથી વધુમાં વધુ લોકો અબોલ પક્ષીઓની મદદ કરી શકે. આ માળા કુદરતી રીતે ઠંડા રહે છે, જે ઉનાળામાં પક્ષીઓના ઈંડા અને બચ્ચાને લૂ (ગરમ પવન) થી બચાવે છે. અમિતભાઇ માત્ર ઉનાળામાં નહીં પણ વર્ષ દરમિયાન પર્યાવરણને લગતી કામગીરીમાં સતત કાર્યરત રહી પર્યાવરણને ઉપયોગી થવાના પ્રયત્નો કરતા રહે છે. પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગઅમિતભાઈ માત્ર પક્ષીઓ જ નહીં, પણ વધતા જતા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે પણ લડી રહ્યા છે. તેમના સર્વિસ સેન્ટર પર એકત્ર થતી નકામી પ્લાસ્ટિકની બોટલોને કચરામાં નાખવાને બદલે તેઓ તેમાં સુંદર છોડ રોપે છે.આ રીતે તૈયાર થયેલા પ્લાન્ટ્સનું લોકોમાં નિઃશુલ્ક વિતરણ કરે છે. આ પ્રવૃત્તિ કોઈ એક દિવસ માટે નહીં, પરંતુ નિયમિત ધોરણે ચલાવે છે. જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે.
હાલમાં ગેસના સિલિન્ડરમાં રૂ. 50ના વધારાનો લાભ લેવા એજન્સી દ્વારા ગ્રાહકોને ડિલિવરી ટાઇમ પર ન આપતા હોય ઓફિસમાં આવીને પોતાનો રોષ લોકો વ્યક્ત કરતા હોય છે. જેને જવાબ આપતા એજન્સીના કર્મચારીઓ ગ્રાહકોને સાંભળવા ને બદલે તેમની સાથે બોલાચાલી કરી ઓફિસનો માહોલ ગરમ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. નવસારી શહેરમાં આવેલી એક ગેસ એજન્સીમાં દસ દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ કરેલ ગેસનો સિલિન્ડર નહીં આવતા હોય જરૂરિયાત હોય તેઓ ગેસ એજન્સીમાં આવ્યા અને આક્રોશ ઠાલવ્યો કે 10 દિવસથી સિલિન્ડર આવ્યા નથી. આ બાબતે કહેવા જતા ગેસ એજન્સીના કર્મચારીઓ ઊલટાનું ગ્રાહક સાથે જીભાજોડી કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ બાબતે ઓનલાઈન ડિલિવરી માટે બુકિંગ કરાવ્યું પણ કેમ ન આવતા તે બાબત જાણવા ગ્રાહકોની લાઇન લાગી હતી. 23 ફેબ્રુઆરીએ બુકિંગ કરાવ્યા બાદ પણ 7 માર્ચ સુધી સિલિન્ડર ઘરે ન આવ્યોઅમે તો.23 ફેબ્રુઆરીના રોજ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું પણ તા.7 માર્ચ છતાં સિલિન્ડર ઘરે આપવા ન આવ્યા. અમારે હવે શું કરવું. ગેસ એજન્સીમાં આવ્યા તો ડિલિવરી કરવાવાળા માણસ રજા પર છે એમ જવાબ આપે છે તો અમારે કરવાનું શું ? ડિલિવરીની જવાબદારી ગેસ એજન્સીની હોય છે. રજૂઆત કરવા જતા ઉગ્રતાથી વાત કરે છે. હાલમાં ભાવ વધારો થવાનો હોય અમને તકલીફ પડશે તેમ ગેસ એજન્સીના ગ્રાહકોએ જણાવ્યું હતું.
ચીખલી તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી દીપડાઓની હાજરી અને પશુઓ પરના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને ચોમાસા બાદ શેરડીની કાપણી સમયે ખુલ્લા ખેતરો થતાં દીપડા ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ વળે છે. સાદકપોર જેવી ઘટનાઓ, જ્યાં દીપડાના હુમલામાં મહિલાએ જીવ ગુમાવ્યો, સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કરે છે. ખેડૂતો અને શ્રમિકો માટે ખેતરમાં જવું હવે જોખમી બન્યું છે. હવે ચીખલી વિસ્તાર માત્ર દીપડાઓનો ભ્રમણ માર્ગ જ નહીં, પણ તેમનું કાયમી વસવાટ અને પ્રજનન સ્થળ પણ બની ગયું છે. બોડવાંક ગામે શેરડીના ખેતરમાંથી મળી આવેલા નવજાત બચ્ચા આ વાતની સાબિતી છે. વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડાઓને વાંસદા નેશનલ પાર્કમાં છોડવામાં આવે છે, પરંતુ ત્યાં પૂરતા ખોરાક-પાણીના અભાવે તેઓ ફરી માનવ વસ્તી તરફ સ્થળાંતર કરે છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની મધ્યમાં અદ્યતન રેસ્ક્યુ સેન્ટર બનાવવું અનિવાર્ય છે. આ સેન્ટરમાં ઇજાગ્રસ્ત દીપડાઓ માટે અલગ કંપાર્ટમેન્ટ, ડોક્ટર રૂમ, ફૂડ સ્ટોરેજ અને પીએમ રૂમ જેવી વ્યવસ્થા હોવી જોઈએ. પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે ત્વરિત વળતર અને પૂરતા પાંજરાની ઉપલબ્ધતા જરૂરી છે. જો સમયસર વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો માનવ અને વન્યજીવ બંનેની સલામતી જોખમમાં મુકાતી રહેશે. લેપર્ડ પાર્કનું નિર્માણ ક્યારે?દીપડાઓના સંરક્ષણ-સર્વધન માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટર ઉપરાંત જંગલ વિસ્તારમાં લેપર્ડ પાર્કનું પણ નિર્માણ કરવામાં આવે તે ઇચ્છનીય છે. આ પાર્કમાં દીપડાઓ સ્વતંત્ર રીતે ટહેલી શકે, ફરી શકે અને મુક્તપણે હરવા ફરવા સાથે પૂરતી માત્રામાં ખોરાક, પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે આવા પાર્કના નિર્માણથી વનયજીવોના સંરક્ષણ સાથે ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળવા સાથે સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થઈ શકે. બીજી તરફ જંગલ સિવાય ચીખલી સહિતના વિસ્તારમાં માનવ વસ્તીમાં દીપડાઓની અવર જવર પણ ઓછી કરી શકાય તેમ છે. છેલ્લા ત્રણ વર્ષમાં દીપડાએ પશુ પર કરેલા હુમલાની આ છે વિગત ત્રણ વર્ષમાં પાંજરે પુરાયા તેની વિગત માનવ પર હુમલા
ચીખલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27ના રૂ. 9.68 કરોડના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજનને પણ મંજૂરી આપવામાં આવી હતી. ચીખલી તાલુકા પંચાયતમાં પ્રમુખ રાકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ રમેશભાઈ, કારોબારી અધ્યક્ષ દમયંતીબેન આહીર, પૂર્વ પ્રમુખ કલ્પનાબેન ગાવિત, ટીડીઓ ભાવનાબેન યાદવ, વિસ્તરણ અધિકારી હીનાબેન, દક્ષાબેન આહિર સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં વર્ષ 2026-27ના અંદાજપત્રમાં જાહેર બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, કુદરતી આફતમાં સહાય સહિત વિવિધ જોગવાઈ સાથેના રૂ. 9,68,96,098ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રૂ. 3.56 કરોડની બાંધકામ ક્ષેત્રે જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં સામાન્ય સભામાં ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજનના ઠરાવને પણ બહાલી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં ફડવેલના તાલુકા પંચાયત સભ્ય મહેશભાઇ એ ફડવેલમાં ગ્રામ પંચાયત કચેરીના અધૂરા બાંધકામ અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાલુકા સભ્ય ધર્મેશભાઇએ મજીગામની દેસાઈવાડ સ્થિત પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા તોડવાનો લાંબા સમયનો પ્રશ્નનું નિરાકરણ તેમજ સમરોલીમાં કુમારશાળાની સામે તાલુકા પંચાયત હસ્તકની ખુલ્લી જગ્યામાં ડ્રેનેજનું પાણી છોડી ફેલાતી ગંદકી બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી. મજીગામની પ્રાથમિક શાળામાં લાંબા સમયથી જર્જરિત ઓરડા તોડવામાં ન આવતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી હોય તેવા સંજોગોમાં ઓરડા તોડવાની બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય સભામાં તાલુકા સભ્ય વૈભવ બારોટ, હીનાબેન, નરેન્દ્રભાઇ, સ્નેહલભાઈ નાયક, દક્ષાબેન, હબીબાબેન, જગનભાઈ દેશમુખ, જીગ્નેશ ગાવિત ઉપરાંત વિરોધ પક્ષના નેતા ભીખુભાઇ ગરાસિયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
અકસ્માતની ભીતિ સર્જાઈ:ખારેલથી ચીખલી જતા હાઇવે પર સફાઇને અભાવે અકસ્માતનો ભય
ગણદેવી તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 48 પર આઇ.આર.બી. દ્વારા હાઇવેની ત્રીજી લાઈન, ડિવાઈડરની બાજુમાં અને ઓવરબ્રિજ પર યોગ્ય સાફ સફાઈને અભાવે કોઈ ગંભીર અકસ્માતનો ભય સેવાય રહ્યો છે. આઈ.આર.બી.પાસે સફાઈ માટે આધુનિક સાધનો હોવા છતાં આવી પરિસ્થિતિ સર્જાય છે જે એક ચિંતાજનક બાબત છે. ખારેલ હાઇવેથી ચીખલી હાઇવે સુધી હાઇવેની ત્રીજી લાઇનમાં રેતી-કપચીના થર જામેલા હોય છે, જેની સાફસફાઇ ન થતા કોઈ ગંભીર અકસ્માત થવાનો ભય સેવાય રહ્યો છે. એંધલ હાઇવે પર પણ નવસારી જતી લાઈન હાઇવે પર આવેલી આઈમાતા હોટલથી એંધલ બસ સ્ટોપ સુધી રેતી કપચીના એટલા થર જામેલા છે કે હાઇવે દેખાતો જ નથી. અહીં આઈ.આર.બી.ના કોઈ સફાઈ સ્ટાફ સાફસફાઈ કરતા નથી, જેને લઈને હાઇવે પરથી ગામમાં આવતા વાહન ચાલકો હાઇવેથી અંદર વળવા જેવી બ્રેક મારે તો વાહન સ્લીપ થઇ જવાના બનાવો બનતા રહે છે, જે આવનાર દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે હાઇવેની સુંઠવાડ ઓફીસ ઉપર બેસતા ઇન્ચાર્જ અધિકારીને રૂબરૂ મળી હકીકતથી વાકેફ કર્યા હતા છતાં આ બાબતે બેદરકારી દાખવી રહ્યાં છે જેને લઈને આક્રોશ ફેલાયેલો જોવા મળે છે.
અમદાવાદમાં રમાયેલી રોમાંચક ટી-20 ફાઇનલ મેચનો ઉત્સાહ આખા દેશમાં હતો, ત્યારે નવસારીમાં પણ ક્રિકેટ પ્રેમીઓ માટે ઠેર-ઠેર સામુહિક સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ આયોજનના જશ ખાટવાની લ્હાયમાં ભાજપના એક સ્થાનિક નેતાએ સોશિયલ મીડિયા પર જે કરતૂત કરી છે, તે હવે શહેરમાં ચર્ચાનો વિષય બની છે. નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર નવસારી મહાપાલિકા દ્વારા લુન્સીકૂઇ મેદાનમાં એલઇડી સ્ક્રિન મૂકીને શહેરીજનો માટે મેચ નિહાળવાનું આયોજન કરાયું હતું. હજારોની મેદનીએ અહીં મેચ માણી હતી. બીજી તરફ, ભાજપ યુવામોરચાએ પણ વિવિધ સ્થળોએ સ્ક્રિનિંગ રાખ્યું હતું. વિવાદ ત્યારે વકર્યો જ્યારે નવસારી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ઉમંગ દેસાઇએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આયોજનની વિગતો શેર કરી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના આયોજન મુજબ દરેક તાલુકા અને શહેર મથકે લાઈવ પ્રસારણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ લખાણની સાથે ઉમંગ દેસાઇએ જે તસવીરો અપલોડ કરી તેમાં મનપા આયોજિતના કાર્યક્રમના ફોટા પણ જોડી દીધા હતા. હાઇકમાન્ડને પ્રભાવિત કરવાની આંધળી દોટ પ્રદેશ નેતાગીરી અને હાઇકમાન્ડ સામે પોતાની ઇમેજ સુધારવા અને પોતાની તાકાત બતાવવા માટે સ્થાનિક નેતાઓ સરકારી કે સ્વાયત્ત સંસ્થાના કાર્યક્રમોને પણ પોતાના નામે કરી દેતા અચકાતા નથી. લુન્સીકૂઇના ભીડવાળા ફોટા મૂકીને હાઇકમાન્ડને પ્રભાવિત કરવાનો આ ખેલ હવે સોશિયલ મીડિયાના કારણે ચર્ચાની એરણે ચડ્યો છે.
કુખ્યાત પાર્સલ કાંડ''માં સંકળાયો નવસારીનો યુવક:નવસારીનો યુવક અમેરિકામાં ડોલર અને સોના સાથે ઝડપાયો
મૂળ નવસારીના અને હાલ અમેરિકાના આર્લિંગ્ટનમાં સ્થાયી થયેલા 24 વર્ષીય ગુજરાતી યુવક અનુજ આશિષભાઈ મોદીની ટેક્સાસ પોલીસે મોટી માત્રામાં રોકડ અને સોનાના જથ્થા સાથે ધરપકડ કરી છે. સ્મિથ કાઉન્ટીમાં બનેલી આ ઘટનામાં યુવક અમેરિકામાં ચાલતા કુખ્યાત પાર્સલ કાંડ' અથવા સાયબર ફ્રોડના નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યાનુસાર, અનુજ મોદી ઇન્ટર સ્ટેટ-20 હાઇવે પર પોતાની કાર હંકારી રહ્યો હતો. ડ્રાઇવિંગ દરમિયાન એક સેમી-ટ્રકની પાછળ જોખમી રીતે ઓછું અંતર રાખીને ગાડી ચલાવવા બદલ હાઇવે પેટ્રોલિંગ ટીમે તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને કારમાંથી 1.20 લાખ ડોલર (અંદાજે ₹ 1 કરોડથી વધુ) રોકડા અને સોનાનો જથ્થો મળી આવ્યો હતો. આ યુવાન નવસારી જમીન દલાલનો પુત્ર છે અને તે અભ્યાસ માટે તાજેતરમાં જ અમેરિકા ગયો હતો પ્રાથમિક તપાસ મુજબ, આ મુદ્દામાલ તેણે લોંગવ્યૂની એક મહિલા પાસેથી કલેક્ટ કર્યો હતો. અમેરિકામાં હાલમાં સ્કેમર્સ વડીલોને ડરાવીને તેમના ઘરેથી કિંમતી વસ્તુઓ અને રોકડ મંગાવતા હોય છે, જેમાં અનુજ કુરિયર’ અથવા મની મ્યુલ' તરીકે કામ કરતો હોવાની આશંકા છે. હાલ પોલીસે તેની અટક કરી છે.
વિરોધ:500 વધુ નિવૃત્ત એસટી કર્મીઓ ધરણા માટે દિલ્હી જવા રવાના
ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘ અમદાવાદના નેજા હેઠળ 500થી વધુ નિવૃત્ત એસટી કર્મચારીઓ પેન્શન બાબતે દિલ્હી જંતર મંતર પર યોજનાર ધરણાના કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી રવાના થયા છે. પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘ કે જેના 18,000 થી વધુ સભ્યો છે. તેના દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાયર પેન્શન મેળવવા દાખલ કરેલ સિવિલ એપ્લિકેશનમાં નં-1134/2018, તા.04/1 1/2022નો ચુકાદો કામદારોની તરફેણમાં આવ્યો છે. પરંતુ તેની અમલવારી ઇ.પી.એફ.ઓ. દ્વારા નહીં કરવામાં આવતા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં અલગ અલગ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપવા મહારાષ્ટ્રના બલઢાણા ખાતે અશોકજી રાઉતના વડ પણ હેઠળ રાષ્ટ્રીય વ્યાપી આંદોલન તા.9,10,11-03- 2026ના રોજ દિલ્હી જંતર મંતર મેદાનમાં વિશાળ ધરણાનો કાર્યક્રમ આપ્યો છે. જેમાં દેશમાંથી ઇ.પી.એફ. 1995ના સભાસદો ભાગ લેવા પહોંચવાના છે. આ ધરણામાં ભાગ લેવા ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘના પ્રમુખ નાનુભાઈ રાવલ મહામંત્રી, કે.કે.દુધાત્રાના વડપણ હેઠળ 500થી વધુ નિવૃત્ત કર્મચારીઓ રવાના થયા છે.
ફરિયાદ:લગ્નની લાલચ આપી યુવતી પર શખસનું દુષ્કર્મ
જામનગર શહેરની એક યુવતિ સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ લગ્નની લાલચ આપીને પરણિત શખસે એકાદ વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદથી ચકચાર મચી ગઈ છે અને શખસ નાશી છુટતા પોલીસે તેની શોધખોળ આરંભી છે. જામનગર શહેરના એક વિસ્તારમાં રહેતી આશરે 25 વર્ષની એક યુવતિ સાથે પવન ચક્કી વિસ્તારમાં રહેતો આકાશ પ્રકાશભાઈ કનખરા નામના શખ્સે સૌ પ્રથમ ફ્રેન્ડશીપ કરી હતી. જે બાદ પોતે પરણીત હોવાનું છુપાવીને યુવતિને લગ્ન કરવાની લાલચ આપી હતી, અને તેણી સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો. પાછળથી યુવતીને માલુમ પડયું હતું કે આકાશ પરણીત છે, અને પોતાની સાથે છેતરપિંડી કરી છે. જેથી તેણે આખરે આ મામલાને સીંટી એ. ડિવિઝન પોલીસ પથકે પહોંચાડ્યો હતો. જ્યાં યુવતીની ફરિયાદના આધારે આકાશ કનખરા સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ પી.આઈ. એન.એ. ચાવડાએ ગુનો નોંધ્યો હતો. પોલીસે યુવતીને તબીબી પરીક્ષણ માટે જી.જી.હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. તો ફરિયાદની જાણ થતાં જ આરોપી નાશી છુટતા પોલીસે તેની સઘન શોધખોળ આરંભી છે. સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જામનગરમાં એક જ દવાના બે અલગ-અલગ ભાવ, મેડિકલ સ્ટોરની તપાસની અત્યંત જરૂર
લોકોના આરોગ્ય સાથે મહત્વપુર્ણ રીતે સંકળાયેલી દવાઓમાં દવા માફીયાઓ નફાખોરી અને લોકોને ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. તે દર્શાવતુ પુરાવા સાથેનો બનાવ સામે આવ્યો છે. આમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. જેમાં એક જ દવાના બે અલગ-અલગ ભાવ અલગ-અલગ દુકાનોએથી લેવામાં આવે છે અને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા હરપાલસીંઘ તેજેન્દ્રસીંઘ નામના વ્યક્તિએ ગત તા.8 ફેબ્રુઆરીના રોજ શ્રીનાથજી સ્ટોરમાંથી હેપીયર કેપ નામની 15 દવાની સ્ટ્રીપ લીધી હતી. જેની કિંમત રૂ.246.84 વસુલવામાં આવી હતી. આ જ દવા તેને હિરા મેડીકલ સ્ટોરમાંથી બીજા દિવસે લીધી જેની કિંમત રૂ.329.12 વસુલવામાં આવી. એટલે કે રૂ.82.28 વધુ લેવામાં આવ્યા. હવે મોટા ભાગના લોકો દવાઓના ભાવ જોતા નથી અને મેડીકલ સ્ટોરવાળા જે કહે તે પૈસા આપી દે છે. આવી રીતે દવાઓમાં લોકો છેતરપીંડીના ભોગ બની રહ્યા છે. હરપાલસિંહ જાગૃત વ્યક્તિએ આ અગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરી છે. પરંતુ તેમાં શું આવે છે તે સમય કહેશે. પરંતુ મેડીકલ સ્ટોરની આ ગોબાચારી સામે લોકોએ જાગૃત થવાની જરૂર છે. નિયમ મુજબ એમઆરપીથી ભાવ ન લઈ શકાય ડ્રગ્સ વિભાગના નિષ્ણાંતનું કહેવું છે કે, દવાઓના ભાવ અલગ-અલગ હોય શકે, અમુક લોકો ડીસ્કાઉન્ટ આપતા હોય, તેના કારણે આવુ થતું હોય છે. બાકી એમઆરપીથી એક પૈસો પણ વધારે ન લઈ શકે. જો લે તો ડીપીસીઓ મુજબ તેના પર કોર્ટ કેસ થઇ શકે.
કામગીરી:લગ્નમાંથી ઘરે જતી યુવતીના સોનાના દાગીનાનું બેગ શોધી આપતી પોલીસ
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત કરાયેલા સીસીટીવી કેમેરાના આધારે હવે એક જ દિવસમાં રીક્ષામાં સોનાના દાગીના સાથ ભુલાયેલ બેગ અને એક વ્યક્તિનો ખોવાયેલ મોબાઈલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમે શોધી આપીને મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. શહેરના સરદારનગર સાંઢીયાપુલ પાસે રહેતા શીતલબેન ભાવિનભાઈ બકરાણિયા ગત તા.8 માર્ચના રોજ સાંજના સાડા ચાર વાગ્યા આસપાસ તેઓના પરિવાર સાથે વિશ્વકર્માની વાડીમાંથી લગ્ન પ્રસંગમાંથી પંચેશ્વર ટાવર પાસેથી રીક્ષામાં બેસી ઘરે જવા નિકળ્યા હતા. તેઓ રીક્ષમાં જ સોનાના દાગીના રૂ.70 હજારની કિંમતના તેમજ કપડા સાથેનો બેગ ભુલી ગયા હતા. જે અંગેની કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ બી.બી.સિંગલને જાણ કરતા તેઓએ તાત્કાલિક કેમેરાઓ ચેક કરીને રીક્ષા ચાલકની ઓળખ કરીને બેગ પરત મેળવીને મહિલાને પરત આપવામાં આવ્યો હતો. શહેરના દિગ્વિજ્ય પ્લોટમાં રહેતા દીપ ભરતભાઈ કલોલિયા ગત તા.8ના રોજ પોતાનું સ્કુટર લઈને ખંભાળીયા ગેટથી ઘરે જતા હતા. તે દરમ્યાન રસ્તામાં તેઓના પોકેટમાંથી તેનો મોબાઈલ રૂ.15000ની કિંમતનો પડી ગયો હતો. જે અંગેની કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસે કમેરા ચેક કરીને મોબાઈલ ઉઠાવનારની ઓળખ કરીને નંબર પરથી શોધી કાઢયો હતો. મૂળ માલિકને પરત સોંપ્યો હતો.
શૈક્ષણિક તાલીમ:એમ.પી.શાહ મેડિકલ કોલેજના છાત્રોએ ફલ્લા ગામે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામમાં નુક્કડ નાટકો
જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા નેશનલ મેડિકલ કમિશનના માર્ગદર્શન હેઠળ ફલ્લા ગામે ગ્રામ્ય આરોગ્ય અભ્યાસ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષના MBBSના વિદ્યાર્થીઓએ ફલ્લા ગામના દત્તક લીધેલા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પરિવારોની આરોગ્ય સ્થિતિ, પોષણનું સ્તર, સ્વચ્છતા, પર્યાવરણ અને જીવનશૈલી સંબંધિત ઝીણવટભરી માહિતી એકત્રિત કરી હતી. ત્યારબાદ નાના સમૂહોમાં આ માહિતીનું જાહેર આરોગ્યના દ્રષ્ટિકોણથી સચોટ વિશ્લેષણ કરી, તેને સરળ અને સમજી શકાય તેવા આરોગ્ય શિક્ષણના સંદેશાઓમાં રૂપાંતરિત કરી ગ્રામીણ પરિવારો સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું. સંસ્થાના કોમ્યુનિટી મેડિસિન વિભાગે આ સમગ્ર શૈક્ષણિક તાલીમ અને આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં લોકજાગૃતિ માટે નવતર પ્રયોગ હાથ ધરતા વિદ્યાર્થીઓએ ફલ્લાની આંગણવાડી, ધ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ-ધ્રાંગડા તથા મોટી બાણુગરની શાળાઓના સહયોગથી વિવિધ વિષયો પર નુક્કડ નાટક રજૂ કર્યા હતા. આ નાટકો દ્વારા કિશોરાવસ્થામાં એનિમિયા અને આયર્નયુક્ત આહારની સમજ આપી હતી. ગ્રામ્ય આરોગ્યની સ્થિતિ તબીબોએ જાણી ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ દ્વારા ભાવિ તબીબોને સમુદાય સાથે સીધો સંપર્કની તક મળે છે, તેઓ ગ્રામ્ય આરોગ્યની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર થાય છે, જે તેમને ભવિષ્યમાં વધુ સંવેદનશીલ અને જવાબદાર તબીબ બનવામાં મદદરૂપ થશે. > ડૉ. દિપેશ પરમાર
ખેડૂતોને મસમોટો ફટકો:યુદ્ધની આંચ વલસાડના ખેતરો સુધી પહોંચી શાકભાજી એક્સપોર્ટ બંધ,
ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના ઉદ્યોગો સાથે ખેડૂતો પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ સહિત જિલ્લાના ખેતરો સુધી અસર પહોંચી છે. દેશભરના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વ્યવહારો પર તેની સીધી અસર પડી રહી છે. આ સ્થિતિમાં વલસાડ જિલ્લાના બાગાયતી અને શાકભાજી પકવતા ખેડૂતો પણ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે અને અહીંનું ઉત્પાદન વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને દુબઈ સહિતના ખાડી દેશોમાં અહીંથી એક્સપોર્ટ ક્વોલિટીની શાકભાજી મોકલવામાં આવે છે, પરંતુ હાલ ચાલી રહેલા યુદ્ધને કારણે ખાડી દેશોમાં જતાં કન્ટેનરો અટકી જતા શાકભાજીનો એક્સપોર્ટ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અગાઉ એક્સપોર્ટ થતી શાકભાજીને ખેડૂતોને સારા ભાવ મળતા હતા, પરંતુ હાલ એક્સપોર્ટ બંધ થતાં બજારમાં જથ્થો વધતા ભાવ ગગડી ગયા છે. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક્સપોર્ટ ક્વોલિટીની શાકભાજી પકવવા માટે ખેડૂતો મોંઘા ભાવના દવા અને ખાતરનો ઉપયોગ કરે છે. ઉપરાંત મજૂરી અને માવજત પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. સારા ભાવ અને વધુ નફાની અપેક્ષા સાથે આ વખતે ખેડૂતો એ મોટું રોકાણ કર્યું હતું. પરંતુ યુદ્ધને કારણે એક્સપોર્ટ બંધ થતાં આ ખર્ચ હવે ખેડૂતોના માથે પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો હવે વહેલી તકે યુદ્ધ સમાપ્ત થાય તેવી આશા રાખી રહ્યા છે. કારણ કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો ઉદ્યોગોની સાથે ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. શાકભાજી વિદેશ જઇ રહી નથી વલસાડ જિલ્લામાંથી દુબઈ સહિત ખાડી દેશોમાં શાકભાજી એક્સપોર્ટ થાય છે.હાલ યુદ્ધને કારણે કન્ટેનર ટ્રાન્સપોર્ટ અને શિપમેન્ટ અટક્યા છે.એક્સપોર્ટ ક્વોલિટીની શાકભાજીના બજાર ભાવ ગગડ્યા છે.ખેડૂતોને દવા-ખાતર અને મજૂરીનો લાખો ખર્ચ કરે છે. યુદ્ધ લાંબું ચાલશે તો ખેડૂતોને વધુ નુકસાનની ભીતિ છે. સારી ક્વોલિટીની શાકભાજી વિદેશ જઇ રહી નથી.> જતીનભાઇ દેસાઇ, એક્સપોર્ટ કરનાર ખેડૂત 50 ટન દ્રાક્ષના બે કન્ટેનર રસ્તામાં ફસાયા વલસાડ કેરી માર્કેટના અરુણ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ છે જેમાં અમારા બે એક્સપોર્ટરો છે.જેના 50 ટન અને 30 ટન દ્રાક્ષના કન્ટેનર રસ્તામાં જ છે. 30થી 35 રૂપિયાના તરબુચનો ભાવ હતો તે હાલ 7થી 8 રૂપિયા થઇ ગયાં છે. સકરટેટી સહિતના ફુટના ભાવો નીચા આવી ગયાં છે. યુદ્ધના કારણે માલ એક્સપોર્ટ થઇ શકતો નથી. જયાં સુધી યુદ્ધ ન અટકે ત્યા સુધી ફુટ માર્કેટને સૌથી વધારે અસર થઇ રહી છે.
પાલિકા વિરોધના વંટોળોમાં:વલસાડ અન્ડરપાસમાંથી બ્લોક ઉખેડવાનો મુદ્દો હવે ગાંધીનગરમાં
વલસાડના મોગરાવાડી અન્ડરપાસના પેવર બ્લોક ઉખેડી નાંખતા ભાજપ શાસિત પાલિકાને રૂ. 8 લાખના નુકસાનનો દાવા સાથે વિવાદ હવે ગાંધીનગર મ્યુ. કમિશ્નર સમક્ષ પહોંચતા પાલિકાના રાજકારણમાં ચહલપહલ સર્જાઇ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ મિત દેસાઇએ નુકસાની ભરપાઇ કરાવવા તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ-37 કખા 46ની કલમ (45) ખંડ ક તેમજ કલમ 83,64,85 વગેરેને ધ્યાને લઇ કાર્યવાહી કરવા દાદ મગાઇ છે. તેમાં જણાવ્યા મુજબ મોગરાવાડી અબ્રામાના વોર્ડ નં.3,4,10 અને 11માં અંદાજિત 30 હજારથી વધુ લોકો અન્ડરપાસ બોક્સ કલવર્ટ નં.329નો વર્ષોથી અવરજવર કરે છે.નગરપાલિકામાં સમાવેશ પહેલાં મોગરાવાડી પંચાયત દ્વારા બોક્સ કલવર્ટમાં પંચાયત મંડળ અવરજવરની સગવડતા ધ્યાને લઇ કામો કરતી હતી. મોગરાવાડી ગામનું 14 ઓગષ્ટ 2006થી પાલિકામાં સમાવેશ થયો ત્યારથી નગરપાલિકાની કમિટિઓ,સામાન્ય સભામાં દ્વારા જરૂરી એસ્ટિેમેઇટ મંજૂર કરી ટેન્ડરથી કામો કરી તેમાંથી પાણીના નિકાલ માટેના પંપ,પાઇપલાઇન,વિજ જોડાણ તથા રસ્તા મરામત અને નવા પેવર બ્લોક લગાવવા વલસાડ પાલિકા સ્વકીય ભંડોળમાંથી નિયમ મુજબ ખર્ચ થાય છે. આ ફરિયાદમાં મિત દેસાઇએ આક્ષેપ કર્યો કે,ગત મહિને પાલિકાના ઉપપ્રમુખ તથા સ્થાનિક કેટલાક સભ્યોની હાજરીમાં પેવર બ્લોક ઉખેડી નાંખતાં ખાડા ખાબોચિયાં પડી જતા 30 હજારની વસતી અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તાત્કાલિકઅન્ડર પાસમાં અબ્રામાના સામાજિક કાર્યકરોએ ખાડા પુરવા શ્રમ યજ્ઞ કરવો પડ્યો હતોઆ મુદ્દે ફરિયાદીએ ઉપપ્રમુખ કે સભ્યો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ દાદ માગી છે. જો કે અગાઉ મોટાપાયે હોબાળો થતાં ઉપપ્રમુખ તથા સ્થાનિક સભ્યોની હાજરીમાં પાલિકાએ અન્ડરપાસમાં ખાડાઓનું પૂરાણ કરાવી અવરજવર ચાલૂ કરાવી દેતા લોકોને મોટી રાહત મળી હતી પણ વિવાદ અટકાવાનું નામ લેતું નથી. સામાન્ય સભાની મંજૂરી જરૂરી મોગરાવાડી 329 નં.અન્ડરપાસ વર્ષ 2011-12માં અંદાજે રૂ.8 લાખના પેવર બ્લોક લગાવવાનું કામ નિયમ મુજબની તમામ પ્રક્રિયા બાદ સ્વકીય ભંડોળમાંથી કરાયું હતું.જે પાલિકાના રેકર્ડ પર ઉપલબ્ધ છે.જેનો કમિટિ કે સામાન્ય સભામાં કે કોઇપણ અધિકારીની પરવાનગી,સૂચના જરૂરી છે તેવુ યૂથ કોંગ્રેસ પ્રમુખ પાલિકનાા નિયમને ટાંકે છ. દાવો એ પણ છે કે,સત્તાનો દુરૂપયોગ કરી ઉપપ્રમુખ અ્ને સ્થાનિક ભાજપી સભ્યોની પ્રત્યક્ષ હાજરીમાં પાલિકાના વર્ગ-4કામદારોએ પેવર બ્લોક ઉખેડી મેટલનો ગેરકાયદે નિકાલ કર્યો હતો રેલવેનું બોક્સ કલવર્ટ છે જવાબમળતાં હવે ખર્ચ પર પ્રશ્નાર્થયુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઇએ કહ્યું કે, 16 ફેબ્રુઆરીના રોજ સિટી પોલીસસ્ટેશન અને પાલિકા COને લેખિત ફરિયાદ આપી હતી.જેનો 20 ફેબ્રુઆરીપાલિકા COએ મોગરાવાડી રેલવે હસ્તકનું વરસાદ પાણીના નિકાલ માટેનુંબોક્સ કલવર્ટ આવેલું છે. જેથી નગરપાલિકા સ્તરેથી પરવાનગી આપવાનીરહેતી નથી તેવો જવાબ આપતાંચીફ ઓફિસરના આ જવાબથી હવે પછી આરેલવે ગરનાળા નં.329માં નગરપાલિકા દ્વારા સ્વકીય ભંડોળમાંથી કોઇપણપ્રકારનો ખર્ચ કરવા અંગે મોટો પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો છે.
દારૂના મોટા જથ્થા સાથે ચાલકની ધરપકડ કરાઈ:45 લાખનો દારૂ ભરેલું ડમ્પર ઝડપાયું
વલસાડ એલસીબીની ટીમે પારડીના બગવાડા ટોલનાકા પાસેથી બાતમી આધારે ડમ્પરમાં રેતી નીચે છુપાવેલો45 લાખના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન LCBની ટીમને બાતમી મળી હતી કે સેલવાસથી ડમ્પર નં. DD-01-H-9432 દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહ્યું છે. પોલીસે બગવાડા ટોલનાકા પાસે ડમ્પરને અટકાવી તપાસ કરતા ઉપરના ભાગે રેતી હતી જે હાઈડ્રોલિક ટ્રોલી ખાલી કરાવતા રેતી નીચે સંતાડેલ દારૂ-બિયરના કુલ 469 બોક્સ,બોટલ નંગ 15,552 નંગ કિંમત રૂ.45,67,080 અને ડમ્પર રૂ15,00,000 મળી કુલ રૂ.60,72,080નો મુદ્દામાલ કબજે કરી ચાલક શુભલાલ મોતીલાલ સાહુ (રહે. મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આ દારૂ સેલવાસના ચિરાગ નામના શખ્સે મોકલાવ્યો હતો, જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ગંભીર અકસ્માત સર્જાયો:સોનવાડા ને. હાઇવે ઉપર અકસ્માતમાં 6 યાત્રીને ઇજા
વલસાડના સોનવાડા હાઇવે પર ચાલુ ટ્રકનું ટાયર અચાનક ફાટતાં જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી. એ સમયે સામેથી આવી રહેલી એસટી બસ સાથે ટ્રક જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસાન સમયે બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. ટ્રકને સામેની લેનમાં આવતી જોઈ બસના ચાલકે સ્ફૂર્તિથી બ્રેક લગાવી બસને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ જો ચાલકે સમયસૂચકતા ન દાખવી હોત તો બસ પલટી ખાઈ શકી હોત અને મોટી જાનહાનિ થઈ શકી હોત. અકસાનને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ 6થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ડુંગરી સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં 19મી માર્ચથી નર્મદા નદીની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઇ રહયો છે. પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા આવવા માટે ફરજિયાત બોટનો ઉપયોગ કરવો પડતો હોય છે. વહીવટીતંત્રએ રેંગણથી રામપુરા સુધી હોડીસેવા સંચાલનનો ઇજારો અંકલેશ્વરની એજન્સીને રૂા.20 લાખમાં આપ્યો છે. ટેન્ડરની સમગ્ર પ્રક્રિયામાં અધિકારીઓની મિલિભગતથી એક એજન્સીને ફાયદો કરાયો હોવાનો આક્ષેપ સ્થાનિક નાવિકોએ કર્યો છે. સ્થાનિક નાવિકો રૂા.30 ભાડુ લેવા તૈયાર હોવા છતાં તંત્રએ એજન્સીને રૂા.50 ભાડુ વસુલવાની છૂટ આપી હોવાથી દરેક પરિક્રમાવાસીએ એક ફેરાના રૂા.20 વધારે ચૂકવવા પડશે. ચૈત્ર મહિનામાં નર્મદા જિલ્લામાં નર્મદા નદીનું વહેણ ઉત્તર દિશામાં વહેતું હોય છે જેથી એક મહિના સુધી પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે. આ વર્ષે એક મહિનામાં 15 લાખ કરતાં વધારે શ્રધ્ધાળુઓ પરિક્રમા કરવા આવે તેવો અંદાજ છે. પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા ઘાટ આવવા માટે નાવડીમાં બેસવું પડતું હોય છે. આ બંને ઘાટ વચ્ચે હોડી સેવાના સંચાલનને લઇ સ્થાનિક નાવિકો અને તંત્ર વચ્ચે ટકરાવ જોવા મળી રહયો છે. સ્થાનિક નાવિકો પરેશ પટેલ, પરેશ માછી અને ભરત તડવીના જણાવ્યાં અનુસાર ટેન્ડર પ્રક્રિયામાં અધિકારીઓ દ્વારા તેમના મળતીયાઓ સાથે મિલીભગત કરી સરકારની તિજોરીને નુકસાન થાય અને ગત વર્ષના ડિફોલ્ટરને ટેન્ડર આપી શ્રદ્ધાળુઓના ખિસ્સા હળવા થાય તે રીતની ભ્રષ્ટાચાર નીતિ અપનાવવામાં આવી છે. હોડી સેવા માટે ત્રણ વખતટેન્ડરિંગ કરવામાં આવ્યું19મી માર્ચથી નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થશે.રેંગણઘાટથી રામપુરા વચ્ચે હોડીના સંચાલન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ઓનલાઇન હરાજી દરમિયાન રાજેન્દ્ર પટેલ નામના ઇજારદારે 4.50 કરોડની અધધ રકમની બોલી લગાવતાં તેને કોન્ટ્રાકટ આપી દેવાયો હતો. ગત વર્ષે હોડી સંચાલનની હરાજી 19 લાખમાં થઇ હતી પણ આ વર્ષે 4.50 કરોડની બોલી લગાવવામાં આવી હતી. આ ટેન્ડર રદ થતાં ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. હોડીઘાટના સંચાલન માટે 7 એજન્સીઓએ બોલી લગાવી હતી જેમાં અંકલેશ્વરની એજન્સીને રૂા.20 લાખમાં ઇજારો આપવામાં આવ્યો છે. ગત વર્ષે આ કોન્ટ્રાકટ રૂા. 19 લાખમાં આપવામાં આવ્યો હતો. સી કેટેગરીની બોટમાં 12 મુસાફરો બેસાડી શકાય છેમાલવાહક અને મુસાફરોનું વહન કરતી નાવડીઓને અલગ અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે છે. સી કેટેગરીની બોટની લંબાઇ 10 મીટર જેટલી હોય છે અને તેમાં 12 મુસાફરોની વહન ક્ષમતા હોય છે. બી કેટેગરીની બોટમાં 12 કરતાં વધારે મુસાફરોને બેસાડી શકાય છે.
રાજપીપળામાં આરસીસીના રસ્તાના ભૂમિપૂજનના અવસરે સાંસદ મનસુખ વસાવા ફરી વિફર્યા હતાં. આ વખતે તેમણે હરસિધ્ધિ માતાજીના મંદિરના વિકાસને લઇને તેમનો બળાપો ઠાલવ્યો હતો. તેમણે મંદિરનો વહીવટ કથળી રહયો હોવાનો આક્ષેપ કર્યો છે. રાજપીપળામાં નવા રોડના ખાતમુહુર્તના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સંગઠનના હોદેદારો પર વિફર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, હરસિધ્ધિ મંદિરના મકાનો તોડી પાડ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે ભાજપના જ નેતાઓને કહયું હતું કે, બીજી ચિંતા પછી કરો પહેલા કલેકટર સાથે મળી આ મંદિરનું કમ્પાઉન્ડ તોડી પાડ્યું છે એ કામ શરૂ કરાવો. સરકાર કરોડો રૂપિયા વિકાસ માટે આપ્યા છે.જેનો યોગ્ય વહીવટ થાય તે જોવું જરૂરી છે.વધુમાં તેમણે રાજપીપલા માં બનેલ રિંગ રોડ માં અગાવ ભ્રષ્ટચાર થયો છે. આજે વર્ષોથી રાજપીપલા અંકલેશ્વરનો રોડ બનતો નથી એમાં કોન્ટ્રાક્ટરના માણસોએ અધિકારીઓને માર્યા અને કામ બંધ થયું એનો પણ હાલ પાંચ મહિનામાં કોર્ટમાં ઉકેલ આવી ગયો છે. આ રસ્તા માં કોઈ ભ્રષ્ટાચાર ન થાય માટે હું જાતે નજર રાખવાનો છું. નવા આરસીસીના રસ્તાના ભૂમિપૂજનમાં ધારાસભ્ય નાંદોદ ડૉ. દર્શનાબેન દેશમુખ,ભાજપ અધ્યક્ષ નીલ રાવ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ, મુખ્ય અધિકારી જયકિશન તડવી સહિત મોટી સંખ્યામાં પાલિકા સદસ્યો અને નગરજનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બધાની સામે જ તેમણે નેતાઓની ઝાટકણી કાઢી હતી.
ધારાસભ્યની રજૂઆતને પગલે મંજૂરી:સાળંગપુર-બરવાળા 22 કિ.મી. ફોરલેન રોડમાં 125 કરોડ ખર્ચાશે
બોટાદના ધારાસભ્યની રજૂઆતને પગલે બોટાદની જનતા અને સાળંગપુર કષ્ટભંજન દેવના ભક્તો માટે ખુશીના સમાચાર છે. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત થી બોટાદ-સાળંગપુર-બરવાળ ા રોડ 22.500 કીમી ફોરલેન રૂ.124.40 કરોડથી વધુના ખર્ચે બનશે. તેમજ બોટાદથી સાળંગપુર રોડ પગદંડી સાથે ફોરલેન બનશે. બોટાદ શહેરથી સાળંગપુર કષ્ટભંજનદેવના ભક્તો શનિવારે ચાલીને જતા હોય છે. રોડ નાનો હોવાના કારણે અકસ્માતના બનાવો પણ ખૂબ થવાથી જીવનું જોખમ રહેતું હતું પરંતુ બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુખ્યમંત્રીને વારંવાર રજુઆતથી બોટાદ સાળંગપુર બરવાળા રોડ ફોર લેન બનશે સાથોસાથ બોટાદથી સાળંગપુર રોડ પગદંડી સાથે ફોરલેન બનશે જેથી હવે કષ્ટભંજનદેવના શ્રધ્ધાળુ ભક્તો ચાલીને દર્શને આવતા તેઓને જીવનું જોખમ રહશે નહીં. સાળંગપુર કષ્ટભંજનદેવનું મંદિર અને બીએપીએસ પ્રમુખ સ્વામીનું સ્મૃતિમંદિર ખૂબ જ પ્રખ્યાત હોવાથી ત્યાં શ્રધ્ધાળુ ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોવાથી ટ્રાફિકનો પણ પ્રશ્ન રહેતો હતો પરંતુ હવે ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે. સાથોસાથ સાળંગપુર ફરતે બાયપાસ રોડ બનાવવામાં આવશે તેવી બોટાદના ધારાસભ્યએ જણાવેલ છે.
ફરિયાદ:નદી કાંઠે મહિલા પાસે અશ્લીલ માંગણી સાથે છેડતી પણ કરી
નદી કાંઠે આવેલા સ્મશાન પાસે એક મહિલાની છેડતી થયાની ઘટના સામે આવી છે. સાવરકુંડલા તાલુકાના વંડા ગામના 35 વર્ષીય મહિલા મજૂરી કામ સાથે ઘરેથી માથાના વાળ એકત્રિત કરવાની કામગીરી કરે છે. તા. 07 ના રોજ સવારે લગભગ 10 વાગ્યે તેઓ પોતાના ઘરેથી એકલા પીયાવા ગામે વાળ લેવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન વંડા ગામે નદી કાંઠે આવેલા સ્મશાન પાસે પહોંચતા તે જ ગામના અશોક જીવાભાઈ હાવળિયાએ મહિલાનો હાથ પકડીને અશ્લીલ માંગણી કરી છેડતી કરી હતી. સાથે જ આ બાબત કોઈને કહેશો તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ગઈ કાલે વંડા પોલીસને ફરિયાદ આપી છે.
આયોજન:અમરેલી જિલ્લાનાં રાજુલામાં વોકલ ફોર લોકલ'ના સંદેશ સાથે સ્થાનિક લોકોએ લોકડાયરો માણ્યો
રાજુલા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 28 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રાજુલાના મારુતિધામ ગાર્ડન ખાતે યોજાયેલા આ મેળામાં સ્થાનિક હસ્તકલા, ઘરઉદ્યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું હતું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવેના માર્ગદર્શન હેઠળ તેમજ ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીની દેખરેખમાં યોજાયા હતા. મેળાના દસ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત હસ્તકલા કારીગરો તથા ઘરઉદ્યોગ ચલાવતી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઉત્પાદનોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં હાથથી બનાવેલા પર્સ, રેડીમેડ કપડાં, ભરત-ગૂંથણની વસ્તુઓ, ખાદ્ય સામગ્રી, લિક્વિડ મેળવવાના એટીએમ, વાંસની બનાવટની વસ્તુઓ, રાજુલાના પથ્થરમાં બનેલી કલાત્મક વસ્તુઓ, રેશમી દોરીની આઈટમો તેમજ આયુર્વેદિક ઔષધિઓ જેવા અનેક સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રંગોળી સ્પર્ધા, લોકડાયરો, હાસ્ય કાર્યક્રમો અને લોકસાહિત્યના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન રાજુલાની કન્યાશાળા નં.1ની વિદ્યાર્થિનીઓએ યશોમતીબેનના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કૃતિઓ રજૂ કરી હતી. મેળાના આખરી ચરણ સુધી નિમેષભાઈ વાલસુર, કિશોરભાઈ ધાખડા, શિલ્પાબેન ધોળકિયા, માધવીબેન જોષી અને જાગૃતિબેન જોષી સહિતના આગેવાનો અને ટીમે ખાસ મહેનત કરી હતી.
વાતાવરણ:અમરેલીમાં ગરમીનો પારો 39.5 ડિગ્રી સુધી પહોંચ્યો
અમરેલી જિલ્લામાં ગરમીનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો છે. આજે દિવસ દરમિયાન અમરેલીમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સુધી રહ્યું હતું. જેના કારણે બપોરના સમયે અસહ્ય ગરમી પડી હતી. બીજી તરફ ન્યુનત્તમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું. જેના કારણે ગરમી સાથે ભેજવાળું વાતાવરણ અનુભવાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાક 3.0 કિલોમીટર નોંધાતા હળવો પવન ફૂંકાતો રહ્યો હતો. ગરમીમાં વધારો થતા બપોરના સમયે શહેરના માર્ગો પર અવરજવર ઓછી જોવા મળી હતી. અમરેલી શહેરની સાથે સાથે ગીર પંથકમાં પણ આકરી ગરમીની શરૂઆત થઈ હતી. ગીરમાં આકરી ગરમી પડી હતી. આ ઉપરાંત અમરેલીમાં ઉનાળાની શરૂઆતમાં પ્રથમ વખત મહત્તમ તાપમાનનો પારો 39.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલી પંથકમાં આકરી ગરમી પડી હતી. જેના કારણે બપોરના સમયે રસ્તા સુમસામ બન્યા હતા.
કાર્યવાહી:મિલકત સંબંધિત ગુનાઓ આચરનાર વાવડાનો યુવક પાસા હેઠળ જેલમાં
અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ કરીને લોકોમાં ભયનો માહોલ સર્જતા વાવડાના યુવક સામે અમરેલી પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ શખ્સને પાસા હેઠળ મહેસાણાની જિલ્લા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. મુળ જસદણના શિવરાજપુરના વતની અને હાલ બાબરાના વાવડામાં રહેતા વિજય ઉર્ફે વિપુલ ઉર્ફે ડીગ્રી છગનભાઈ ઉર્ફે કાનજીભાઈ સાડમીયા (ઉ.વ.22) સામે ગોંડલ સીટી, સાવરકુંડલા ટાઉન, જામજોધપુર અને ભેંસાણ પોલીસ મથક મળી કુલ 5 ગુના નોંધાયા હતા. મિલકત સંબંધિત ગુના આચરનાર આ યુવક સામે અમરેલી એલસીબીએ જરૂરી પુરાવા એકત્રિત કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત રજુ કરી હતી. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વાર વિજય ઉર્ફે વિપુલ ઉર્ફે ડીગ્રી સાડમીયાને પાસા હેઠળ મહેસાણાની જિલ્લા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અમરેલી એલસીબીએ આ યુવકને પાસા હેઠળ જેલમાં ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરિયાદ:વાંડળીયાની સગીરાની ઝારખંડના યુવક દ્વારા સોશિયલ મીડિયાથી સતત સતામણી
બાબરા તાલુકાના વાંડળીયા પંથકમાં રહેતા પરિવારની સગીર દીકરીને સોશિયલ મીડિયા મારફતે વારંવાર સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિતાના પિતાએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અહીં ખેડૂતે ફરિયાદ નોંધાવી છે કે ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લાના દુબરાજપુર વિસ્તારમાં રહેતા યુસુફ જમરૂદીન અંસારી નામના યુવકે તેમની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી અપહરણ કર્યું હતું. આ મામલે અગાઉ પણ બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આરોપી જામીન પર છૂટ્યો હતો. આરોપીએ જામીન પર છૂટ્યા બાદ પણ પીડિતાને પરેશાન કરવાનું બંધ કર્યું નહોતું. આરોપીએ yusuf_ansari નામના ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પીડિતાના એકાઉન્ટ તેમજ વોટ્સએપ પર અલગ અલગ સમયે મેસેજ મોકલ્યા હતા. દરમિયાન આ ઉપરાંત રડતા કાર્ટૂન, શેર-શાયરી અને બંનેના ફોટા સાથેના વીડિયો મોકલી વીડિયો કોલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ પીડિતાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખી પોતાના મોબાઈલમાં લોગિન કરી લીધો હતો. ત્યારબાદ પીડિતાની સગાઈ થયેલા યુવકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અશ્લીલ ફોટા સ્ટોરીમાં મૂકી સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતા સગીર હોવાની જાણ હોવા છતાં આરોપીએ સોશિયલ મીડિયા મારફતે જાતીય સતામણી કરી અને પીડિતા ક્યાં છે તે જાણવા માટે મેસેજ પણ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે બાબરા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કામગીરી:ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે દુકાનો પર ફૂડ સેફટી ટીમનું ચેકીંગ
અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે જિલ્લામાં અલગ અલગ પવિત્ર યાત્રાધામ ખાતે ખાણીપીણીની દુકાનો પર ફુડ સેફ્ટી ટીમ દ્વારા સમયાંતરે તપાસણી કરવામાં આવી રહી છે. ધારી નજીક પવિત્ર યાત્રાધામ ગળધરા ખોડિયાર મંદિર ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ દુકાનોને સ્વચ્છતા બાબતે પુરતી કાળજી લેવા અને હાઈજીનિક કન્ડિશન સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે વિવિધ પ્રકારના ફૂડનો વેપાર કરતા ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ માટેની પ્રક્રિયા હેઠળ નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વર્તુળ કચેરી દ્વારા ફૂડ લાઇસન્સ માટે નોંધણીને લઈને રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આજે ધારીના ગળધરા ખોડિયાર મંદિર ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફટી ટીમે ચેકીંગ કર્યું હતું.
કાર્યવાહી:ધાનેરા ગામના બુટલેગર પાસા હેઠળ અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલાયો
ધાનેરાના જાડીયા કુવારલા રોડ પર રહેતા બુટલેગર સામે બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. દરમિયાન ત્યારબાદ આ શખ્સ સામે પોલીસે પાસાની દરખાસ્ત રજુ કરતા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટે બુટલેગરને પાસા હેઠળ અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. બનાસકાંઠાના ધાનેરાના જાડીયા કુવારલા રોડ પર રહેતા અશોક હમીરભાઈ પટેલ (ઉ.વ.38) સામે બાબરા અને નળસરોવર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. અશકો પટેલ વિરૂદ્ધ પુરાવાઓ એકત્રિત કરી અમરેલી એલસીબીના પીઆઈ એ.ડી. ચાવડાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે અશોક હમીરભાઈ પટેલને પાસા હેઠળ અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અમરેલી એલસીબી ટીમે તેને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો હતો.
ટ્રેનની ટિકિટ મેળવવામાં મુશ્કેલી:ઉત્તર ભારતની ટ્રેનોમાં રિગ્રેટ, ફેક્ટરીઓમાં કારીગરોની ઘટ
હોળી-ધુળેટીના તહેવારો પૂર્ણ થયા બાદ લોકો ફરીથી અમદાવાદ પરત આવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તેમને ટ્રેનની ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ઉત્તર ભારત તરફથી અમદાવાદ આવતી મોટાભાગની ટ્રેનોમાં રિગ્રેટ મેસેજ મળતા વેઈટિંગ ટિકિટ પણ ઉપલબ્ધ નથી. પરિણામે ઘણા મુસાફરો જનરલ ટિકિટ લઈને ભીડભાડમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. હજુ ઘણા શ્રમિકો વતનમાં જ હોવાથી શહેરના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોની અછત જોવા મળી રહી છે. હાલ ફેક્ટરીઓમાં કારીગરોની ઘટ છે: જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું કે, નરોડા, ઓઢવ તેમજ વટવા જીઆઈડીસી વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો દર વર્ષે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવવા માટે રજા લઈને વતન જાય છે. આ વર્ષે પણ શ્રમિકો વતન જતા હાલ ફેક્ટરીઓમાં કારીગરોની ઘટ જોવા મળી રહી છે. આગામી 8થી 10 દિવસમાં મોટા ભાગના શ્રમિકો પરત ફરશે. અમદાવાદ આવનારી ટ્રેનોમાં વેઈટિંગની સ્થિતિ ક્યાંથી સ્લીપર થર્ડ સેકન્ડ એસી એસી વારાણસી રિગ્રેટ રિગ્રેટ રિગ્રેટ પટના રિગ્રેટ રિગ્રેટ રિગ્રેટ મુજફ્ફરપુર 163 97 42 હાવડા 289 153 79 પુરી રિગ્રેટ 119 39 દિલ્હી 159 78 33
ગુજરાતમાં નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. આ સંદર્ભે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. માહિતી મુજબ રાજ્યના અનેક મહત્વના પ્રોજેક્ટો અને ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા થવાની છે. બંને નેતાઓ આવતીકાલે સવારે દિલ્હી જવા રવાના થશે અને બેઠક દરમિયાન પાર્ટી હાઇકમાન્ડ સાથે ચૂંટણી પૂર્વેની વ્યૂહરચના તથા સંગઠનાત્મક મુદ્દાઓ પર વિચારણા કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગતિવિધિઓ તેજ બનતી જોવા મળી રહી છે. રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરીગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની આપ અને કોંગ્રેસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ સાત કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. માર્ચ મહિનામાં ઉમેદવારોની પસંદગી પણ કરી લેવામાં આવે તેવી શક્યતા છે. આપ દ્વારા પણ ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકેરાજ્યની 6 મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થતા વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અધિકારીઓની બદલીના આદેશો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ગમે ત્યારે સ્થા્નિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
GIAR દ્વારા રજત જયંતી મહોત્સવની ઉજવણી:ગાંધીનગરમાં 150 હેમ રેડિયો એમેચ્યોર્સ ઉપસ્થિત રહ્યા
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) દ્વારા તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગાંધીનગર સ્થિત ક્લબ ઓફિસ, સેક્ટર–૨૩ ખાતે યોજાયો હતો. આ સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં દેશભરના આશરે 150 હેમ રેડિયો એમેચ્યોર્સ જોડાયા હતા. આ સંસ્થાની સ્થાપના 26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપ બાદ કરવામાં આવી હતી. ભૂકંપ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સંદેશાવ્યવહારના મહત્વને સમજીને રાજ્યમાં હેમ રેડિયો પ્રવૃત્તિનો વ્યાપ વધારવાના હેતુથી GIARની રચના થઈ હતી. કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક અને ચેરમેન ડો. ઇ. રાધાકૃષ્ણા, ડો. જગદીશ પંડ્યા તથા પ્રવીણ વલેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 2001ના સમયના પડકારો, સંસ્થાની સ્થાપના અને ત્યારબાદ વિવિધ કુદરતી આપત્તિઓ દરમિયાન સંસ્થાએ કરેલી રાહત, બચાવ કામગીરી તેમજ તાલીમ વિશે વિગતવાર માહિતી આપી હતી. આખો દિવસ વિવિધ પ્રવૃત્તિઓથી કાર્યક્રમ સક્રિય રહ્યો હતો. મુખ્ય આકર્ષણરૂપે GIARની ૨૫ વર્ષની સફર અને હેમ રેડિયોના ક્ષેત્રમાં કરેલા યોગદાનને દર્શાવતી ટૂંકી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ત્રણ મહત્વપૂર્ણ ટેકનિકલ સત્રો યોજાયા હતા, જેમાં નિષ્ણાતોએ રેડિયો ટેકનોલોજીની નવીનતમ માહિતી આપી હતી. કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના કોલકાતાથી OSCAR એમેચ્યોર રેડિયો ક્લબના સભ્યોની ટીમ, માઉન્ટ આબુ તથા મુંબઈના હેમ સભ્યોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ ડેલીગેટ્સને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતની 71 નગરપાલિકામાં સરકારના વહિવટદાર નિયુક્ત:ચૂંટણી સુધી મામલતદાર-પ્રાંત અધિકારીઓ સંભાળશે વહીવટ
ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારૂ રાખવા માટે વહિવટદારની નિમણૂક કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, નગરપાલિકાની મુદત પૂર્ણ થયા બાદ નવી ચૂંટાયેલી સમિતિ રચાય ત્યાં સુધી સંબંધિત વિસ્તારમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવશે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાની મુદત પાંચ વર્ષની હોય છે અને મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. રાજ્યની અનેક નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની હોવાથી વહીવટી કામકાજમાં વિક્ષેપ ન આવે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ પાણી, ગટર, લાઇટ, સફાઈ સહિત નાગરિકોને મળતી આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે વહીવટદાર તમામ જરૂરી કામકાજ સંભાળશે. જોકે તેઓ કોઈ નીતિ સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ઝોનની કુલ 71 નગરપાલિકાઓમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી ચૂંટાયેલી સમિતિઓ રચાય ત્યાં સુધી તેઓ નગરપાલિકાઓનો વહીવટ સંભાળશે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વહીવટી સુગમતાને ધ્યાને રાખીને તારીખ 9 માર્ચ, 2026ના રોજ ત્રણ અલગ-અલગ મહત્વપૂર્ણ આદેશો બહાર પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનના માળખામાં મોટા પાયે ફેરફારો કર્યા છે. આ ફેરફારોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયરો અને આસિસ્ટન્ટ લો ઓફિસરોની બદલી તથા વધારાના ચાર્જ સોંપવાની કામગીરી કરવામાં આવી છે. વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા અને વિવિધ પ્રોજેક્ટ્સ પર પકડ મજબૂત કરવાના હેતુથી આ વિભાગીય વડાઓની સત્તામાં ફેરફાર અને ઇજનેરોની આંતરિક બદલીઓ કરવામાં આવી હોવાનું જણાયુ છે. વિભાગીય વડાઓના કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગૌરવ દિનેશ રમેશને હવે ડ્રેનેજ (સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ સાથે), એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રોટેક્શન સેલ, ખાડી કેનાલ એમ્બેન્કમેન્ટ પ્રોજેક્ટ અને રોડ ડેવલપમેન્ટ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એવી જ રીતે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ડેપ્યુટેશન) સુશ્રી નિધિ સિવાચને એકાઉન્ટ વિભાગ, સેન્ટ્રલ એસ્ટાબ્લિશમેન્ટ (R-સેક્શન), આઈ.એસ. વિભાગ અને સેન્ટ્રલ ઓફિસના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્વાતિ પી. દેસાઈને આઈ.સી.ડી.એસ., સેન્ટ્રલ સેલ (પ્રોપર્ટી ટેક્સ/વ્હીકલ ટેક્સ), શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, પ્રોફેશનલ ટેક્સ એન્ડ રિકવરી સેલ, ઓક્ટ્રોય વિભાગ અને ફેક્ટરી તથા ટ્રેડ લાયસન્સ સંબંધિત સ્પેશિયલ સેલની કામગીરી સોંપાઈ છે. ટાઉનડેવલપમેન્ટ વિભાગનો હવાલો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી. બી. મિસ્ત્રી સંભાળશે, જ્યારે સિટી લિંકની જવાબદારી એડિશનલ સિટી એન્જિનિયર ડી. સી. ભગવાગરને સોંપવામાં આવી છે. સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટની જવાબદારી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જી. આર. જારીવાલાને સોંપાઈ છે, જેમના વિભાગની તમામ ફાઈલો સીધી કમિશનરને મોકલવાની રહેશે. એન્જિનિયરિંગ વિભાગમાં પણ વ્યાપક બદલીઓ જોવા મળી છે, જેમાં કુલ 12 એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) ના કાર્યક્ષેત્ર બદલાયા છે. સુજલકુમાર ડી. પ્રજાપતિને સેન્ટ્રલ ઝોનમાંથી રોડ ડેવલપમેન્ટ વિભાગમાં, જ્યારે કામિની સંજય દોશીને ઉત્તર ઝોનમાંથી દક્ષિણ પૂર્વ ઝોન (લીંબાયત) માં બદલી કરવામાં આવી છે. કરણકુમાર જે. ભાવસારને બ્રિજ સેલ અને ICCC ની જવાબદારી મળી છે. મિતા બલવંતલાલ ગાંધીને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સ્વિમિંગ પૂલ, હેરિટેજ સેલ, ગાર્ડન અને સુરત સિટી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જેવી વધારાની કામગીરી પણ સંભાળશે. પરેશભાઈ ડી. પટેલને ટ્રાફિક બી.આર.ટી.એસ. પ્રોજેક્ટ અને ટી.ટી.પી. ની જવાબદારી અપાઈ છે. બીજી તરફ, કમલેશભાઈ એલ. વસાવવાની ટ્રાફિક સેલમાંથી ઉત્તર ઝોન (કતારગામ) માં બદલી કરાઈ છે. સતીશભાઈ સી. વસાવવાને હાઈડ્રોલિક વિભાગમાં અને જયંગ આર. જીવણરામજીવાલાને સેન્ટ્રલ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. તેજસકુમાર ટી. પટેલને ટાઉન પ્લાનિંગ વિભાગમાં ઈન્ચાર્જ ટાઉન પ્લાનર તરીકે વધારાની જવાબદારી સોંપાઈ છે. રૂપેશ આર. શાહને દક્ષિણ ઝોન-બી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં, જ્યારે મૌલિક એમ. રાવને પૂર્વ ઝોન-એ અને સેન્ટ્રલ સ્ટોરની જવાબદારી સોંપવામાં આવી છે. મિનેષકુમાર સી. પટેલને દક્ષિણ પશ્ચિમ ઝોન અને ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટની કામગીરી સુપરત કરાઈ છે. કાયદાકીય વિભાગ અને ઝોન લેવલે આસિસ્ટન્ટ લો ઓફિસરોની કામગીરીમાં પણ મહત્વના ફેરફાર કરાયા છે. પી. ડી. ભટ્ટને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બદલી કરી પશ્ચિમ ઝોનનો વધારાનો હવાલો સોંપાયો છે, તેમજ તેઓ ન્યુ ઈસ્ટ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાલુ રહેશે. એમ. એસ. પટેલને સેન્ટ્રલ એસ્ટાબ્લિશમેન્ટ (લીગલ) માં મૂકીને લો ઓફિસરનો વધારાનો ચાર્જ અપાયો છે. એ. એ. શેખને લો ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવી છે, જ્યારે ડી. યુ. રાણેને ન્યુ ઈસ્ટ ઝોનના આસિસ્ટન્ટ લો ઓફિસરનો વધારાનો હવાલો સોંપાયો છે. કે. એમ. રાઠોડની બદલી ઉત્તર ઝોનમાં કરવામાં આવી છે અને તેઓ એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર તરીકે કાર્યરત રહેશે. વી. એન. પટેલને દક્ષિણ ઝોન (ઉધના) ના આસિસ્ટન્ટ લો ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ તમામ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે.
ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સાથે ટ્રાફિકના નિયમનને લઈ ગેરવર્તણૂક કરી સરકારી ફરજમાં રુકાવટ લાવી કોલર પકડી ઝપાઝપી કરી વરદી ઉતારી દેવાની શેખી મારનાર અમદાવાદના પીકઅપ ડાલા ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાયદાનો પરચો બતાવી દેવામાં આવ્યો છે. ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે ગાડીના પૂરતા કાગળો નહોતાપેથાપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોકકુમાર રત્નાભાઇ અન્ય હોમગાર્ડ સભ્યો સાથે પેથાપુર ગીરનારી ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરીમાં હતા. આ દરમિયાન પિકઅપ ડાલા (નંબર: GJ-18-AZ-8659) ને રોકવામાં આવ્યું હતું. જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે ગાડીના પૂરતા કાગળો નહોતા. જ્યારે પોલીસે નિયમ મુજબ દંડ ભરવા અથવા ગાડી જમા કરાવવાનું જણાવ્યું હતું .ત્યારે ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતોતેણે પોલીસ જવાન સાથે બોલાચાલી શરૂ કરી હતી અને કહ્યું હતું કે, તું મારી ગાડી જમા કરીશ તો હું તારી વર્ધી ઉતરાવી દઈશ, મને યાદ રાખજે. ફક્ત એટલું જ નહીં તેણે હેડ કોન્સ્ટેબલનો કોલર પકડીને ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપી દરમિયાન ચાલક નીચે પડી ગયો હતો તોય તેણે મીડિયાને બોલાવવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ ઘટના બાદ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવતા સરકારી ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં આરોપીનું નામ અબ્દુલ સાનીફ અબ્દુલ સલામ રાજપુત (રહે. બાપુનગર, અમદાવાદ) હોવાનું બહાર આવ્યું હતુ. આ અંગે પેથાપુર પોલીસે સરકારી ફરજમાં રુકાવટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત આવાસોના પુનઃવિકાસ માટે ચાલી રહેલી ઝુંબેશમાં પનાસ વિસ્તાર માટે એક મહત્વનો વળાંક આવ્યો છે. પનાસ કેનાલ રોડ પર આવેલા 704 EWS આવાસોના રીડેવલપમેન્ટ માટે સતત ચાર વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ એજન્સી તૈયાર ન થતાં, હવે પાલિકા તંત્રએ બાજુમાં જ આવેલા અન્ય 480 આવાસોને આ પ્રોજેક્ટમાં ભેળવીને તેને મોટો પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, ટી.પી. સ્કીમ નં. 4 (ઉમરા-સાઉથ), ફા. પ્લોટ નં. 134 પર આવેલા 704 EWS આવાસોના પુનઃનિર્માણ માટે અગાઉ વહીવટી મંજૂરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, કામનું કદ નાનું હોવાને કારણે અથવા ટેકનિકલ કારણોસર કોઈ કોન્ટ્રાક્ટર કે ડેવલપરે રસ દાખવ્યો નહોતો. ચાર-ચાર પ્રયત્નો નિષ્ફળ જતાં પાલિકાના શાસકો અને અધિકારીઓએ આ પ્રોજેક્ટની 'વાયબિલિટી' વધારવા માટે મંથન શરૂ કર્યું હતું. 480 નવા આવાસોનો પ્રોજેક્ટમાં સમાવેશહાલમાં સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રીની મૌખિક સૂચના અને એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના સર્વે બાદ, પનાસ ફાઈનલ પ્લોટ નં. 129 પર આવેલા 480 EWS આવાસો (ગણેશ નગર) ને પણ આ યોજનામાં જોડવાનું નક્કી કરાયું છે. આ 480 આવાસો વર્ષ 2002 ની આસપાસ બનેલા છે અને 23 વર્ષથી વધુ જૂના છે. સ્થળ તપાસ દરમિયાન બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ મેમ્બર્સ અત્યંત જર્જરિત જણાયા છે, જેના કારણે રહીશોને અગાઉ નોટિસ પણ અપાઈ હતી. હવે આ 480 અને અગાઉના 704 મળીને કુલ 1184 આવાસોનું એક મોટું ક્લસ્ટર તૈયાર કરવામાં આવશે.
ભાવનગર નિલમબાગ પોલીસે જવાહર મેદાનમા ખુલ્લી જગ્યામાં દરોડો પાડી, જાહેરમાં હારજીતનો જુગાર રમતા 3 મહિલા સહિત 7 જુગારીઓને ગંજીપતા અને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ મહિલાઓ સહિત તમામ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતાઆ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, નિલમબાગ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના નવા ગુરુદ્વારા સામે જવાહર મેદાનમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તથા મહિલાઓ જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમે છે, જે મળેલી બાતમી આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી, તપાસ દરમ્યાન ભાવનગરના સાહિલ અમુ ચાવડા, સુરેશ વશરામભાઈ સોલંકી, સંજય ઉર્ફે કુંભાર કરમશીભાઈ ધંધુકિયા, સુનિલ રામજીભાઈ મકવાણા તેમજ અન્ય ત્રણ મહિલાઓ સહિત તમામ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે ગંજીપતા અને રોકડ રૂ.16,750 સહિતનો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી ચલાવવામાં આવતી સુમન હાઈસ્કૂલોના સશક્તિકરણ માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં સુમન શાળા સેલ વિભાગ મારફતે એક દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તનો મુખ્ય વિષય સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ સુમન હાઈસ્કૂલોને રાજ્ય સરકાર તરફથી કાયમી ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરાવવાનો છે, જેથી શાળાઓનું સંચાલન વધુ સુદ્રઢ અને આર્થિક રીતે સક્ષમ બની શકે. જો સરકાર તરફથી આર્થિક સહાય મળે તો પાલિકા પરનું નાણાકીય ભારણ ઘટશેહાલમાં સુરત શહેરમાં સુમન હાઈસ્કૂલ નંબર-1થી 29 કાર્યરત છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવી રહ્યા છે. કમિશનરની દરખાસ્ત મુજબ માત્ર હાલની 29 શાળાઓ જ નહીં પરંતુ, ભવિષ્યમાં જે નવી સુમન હાઈસ્કૂલો શરૂ કરવામાં આવશે, તે તમામ માટે સરકાર પાસે કાયમી ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. આ દરખાસ્ત પાછળનો મુખ્ય તર્ક એ છે કે, જો સરકાર તરફથી આર્થિક સહાય (ગ્રાન્ટ) મળે, તો પાલિકા પરનું નાણાકીય ભારણ ઘટશે અને સ્લમ વિસ્તારના ગરીબ વર્ગના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને સંસાધનો ઉપલબ્ધ કરાવી શકાશે. આ પ્રક્રિયાને વહીવટી રીતે વેગ આપવા માટે સુમન શાળા સેલના ખાતાધિકારીને વિવિધ સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવા અને અન્ય જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવા માટે અને લીધેલા નિર્ણયો પર અમલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા બાબતની દરખાસ્ત હવે સ્થાયી સમિતિ મારફતે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી છે.
વડોદરામાં ગત રોજ ભારત ન્યૂઝીલેન્ડ મેચ બાદ ઠેર ઠેર જીતની હવે ઉજવણી કરવામાં આવી રહી હતી. દરમ્યાન સમા વિસ્તારમાં ડી જે ના તાલે ઉજવણી કરી રહેલા કેટલાક પ્રશંસકોને પોલીસે ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે કોલ મળતા સાઉન્ડ બંધ કરવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસકર્મી સાથે ફરજમાં રૂકાવટ કરનાર ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરમિશન વગર જાહેરમાં ડી.જે. વગાડીને નાચગાન કર્યુંગત રાત્રે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ હોવાથી વિસ્તારમાં વધારાનો બંદોબસ્ત ગોઠવાયો હતો. રાત્રિના સમયે બે મોબાઈલ વેનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અભિલાષા ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે જાહેર માર્ગ પર કેટલાક લોકો મોડી રાત્રે કોઈપણ જાતની પરમિશન વગર જાહેરમાં ડી.જે. વગાડીને નાચગાન કરી રહ્યા હતા. પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવામાં આવીઆ દરમિયાન પોલીસકર્મીએ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાથી ડી.જે. બંધ કરવા જણાવતાં આરોપીઓએ વિરોધ કર્યો અને કહ્યું કે, ડી.જે. બંધ નહીં થાય, હજુ પાંચ ગીત વાગશે ત્યારે જ બંધ થશે. તમને ડી.જે. બંધ કરવાની વર્ધી કોણે આપી છે? તેનું નામ જણાવો. અહીં કોઈ પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો નથી, કોઈ ચોરી કે રેપ થયું નથી, અમે આતંકવાદી નથી, આ ભારત વિરોધી વાત નથી. આરોપીઓએ પોલીસ કર્મચારીઓની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી, વિરોધ કર્યો અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આમ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવામાં આવી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરીઆ ઘટના અંગે સમા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે જીતેન્દ્ર મધુભાઈ સોલંકી (રહે. ડી-135, સુંદરવન સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ), યજ્ઞેશ મનુભાઈ પટેલ, (રહે. બી-23, સાહેબ કૃપા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર),દેવેન મનુભાઈ જયસ્વાલ, રહે. બી-13, સાહેબ કૃપા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ) ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરની બે જાણીતી ગ્રાન્ટેડ શાળાઓને પાલિકા સંચાલિત સુમન શાળાઓમાં તબદીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ફેરફાર અંતર્ગત આઈ.પી. સવાણી હાઈસ્કૂલ અને વી.ડી. દેસાઈ વાડીવાલા માધ્યમિક શાળા હવે સુરત મહાનગરપાલિકાના વહીવટ હેઠળ આવશે. આ શાળાઓના સંચાલક ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ પોતાની શાળાઓને સુમન શાળાઓમાં રૂપાંતરિત કરવા માટે સંમતિ દર્શાવી છે અને તે અંગેના જરૂરી એફિડેવિટ તથા ઠરાવો પણ કરી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાન્યુઆરી 2026માં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્રો પાઠવીને જાણ કરવામાં આવી હતી, જેના આધારે હવે સુમન શાળા સેલ દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શાળાઓનું સંપૂર્ણ સંચાલન સુરત મનપા કરશેનવી વ્યવસ્થા મુજબ આ શાળાઓનું સંપૂર્ણ સંચાલન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને પાલિકા જ તેના મુખ્ય ટ્રસ્ટ તરીકે કાર્ય કરશે. જોકે, આ શાળાઓ ગ્રાન્ટેડ હોવાથી તેમાં કાર્યરત શિક્ષકોનો પગાર અને વાર્ષિક ગ્રાન્ટ સરકાર દ્વારા જ ચૂકવવામાં આવશે, જે પાલિકા માટે આર્થિક રીતે રાહતરૂપ રહેશે. આ ઉપરાંત, આ શાળાઓના વર્તમાન શૈક્ષણિક મહેકમને પણ સુમન શાળા સેલમાં સમાવી લેવામાં આવશે, જેથી વર્ષોથી સેવા આપતા શિક્ષકોની નોકરી પર કોઈ વિપરીત અસર ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓના નાણાકીય વ્યવહારો માટે નવા બેંક એકાઉન્ટ ખોલાવવાની પણ મંજૂરી માંગવામાં આવી છે. શાળાના ભવન અને નામમાં ફેરફાર સૂચવાયાઆ ફેરફારમાં શાળાઓના ભવન અને નામમાં પણ મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. વરાછા વિસ્તારની આઈ.પી. સવાણી હાઈસ્કૂલને પુણા ખાતેની ટી.પી. સ્કીમ નં. 20, ફાઈનલ પ્લોટ નં. 181 પર તૈયાર થનારા નવા ભવનમાં સુમન હાઈસ્કૂલ નં. 30 ગુજરાતી માધ્યમ તરીકે સ્થાનાંતરિત કરવામાં આવશે. તેવી જ રીતે, અડાજણ વિસ્તારની વી.ડી. દેસાઈ વાડીવાલા માધ્યમિક શાળાને જહાંગીરાબાદ ખાતેની ટી.પી. સ્કીમ નં. 44, એફ.પી. 54 પર સુમન હાઈસ્કૂલ નં. 31 ગુજરાતી માધ્યમ તરીકે ખસેડવામાં આવશે. આ સ્થળ અને નામ ફેરફાર માટે જરૂરી તમામ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુમન શાળા સેલના ખાતાધિકારીને અધિકૃત કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે.
ભાવનગર રોડ શિવાજીનગરમાં રહેતાં લાલજીભાઇ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.39) નામના યુવાને રાતે 11 વાગ્યે ઘરે છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ 108ને કરતા 108ના ઇએમટીએ તપાસી મૃત જાહેર કરતાં થોરાળા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લાલજીભાઇ છુટક મજુરી કરતાં હતાં અને તેમને સંતાનમાં બે દિકરા છે. ઘરના સભ્યો નીચેના રૂમમાં હતાં ત્યારે લાલજીભાઈ ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જો કે આપઘાતનું કારણ સામે ન આવતાં પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાછળ શ્રીનાથજી પાર્કમાં રહેતા ભાવનાબેન અલ્પેશભાઇ કાકડીયા (ઉ.વ.54)એ સવારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવનાબેન ઘણા સમયથી થાઇરોઇડની બિમારીથી પીડાતા હતા જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. ભાવનાબેનના પતિ અલ્પેશભાઇ કોન્ટ્રાકટર છે અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી ધરી છે. પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી કંટાળી હોમગાર્ડ જવાનનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસઘંટેશ્વર પાસે આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા બંસીભાઇ રાજેશભાઈ રાજ્યગુરુ નામના યુવાને નવી કોર્ટ પાસે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની નોકરી કરે છે. તેમને આક્ષેપ કર્યો હતો કે, તેમના લગ્ન 8 વર્ષ પહેલા પૂજા નામની યુવતી સાથે થયા હતા. પૂજા લગ્ન કર્યા બાદ એક વર્ષ સારી રીતે રહ્યા બાદ અવાર નવાર માનસિક ત્રાસ આપતી અને ઝઘડો કરી રીસામણે જતી રહેતી હતી તેમજ સાત વર્ષથી પત્ની અને સાસરિયાંઓ ત્રાસ આપે છે અને છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતા જેથી કંટાળી જઈ પગલું ભરી લીધુ હતુ. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 'બીજાના પહેરેલા કપડાં નહીં પહેરવાના' કહીં પતિએ ઠપકો આપતા પરિણીતાએ ફીનાઇલ પી લીધુભીડભંજન સોસાયટીમાં રહેતી મહેક અજયભાઈ રંગપરા (ઉ.વ.25) નામની પરિણીતાએ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. મહેકના પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને તે બીજાના કપડા પહેરવા માટે લાવી હતી જેથી પતિએ તેમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તારે બીજાના કપડા પહેરવા નહીં નવા કપડાં લઈ આવીશું અને તને હમણાં જ જન્મદિવસ પર પચાસ હજાર રૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો છે તો આપણે શા માટે બીજાના કપડા પહેરવા જોઈએ જેથી મહેકને લાગી આવતા તેમણે આ પગલું કરી લીધું હતું હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

30 C