નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું. સાઉન્ડ સિસ્ટમ સાથે અધ્યતન આ કેમેરા યાત્રિકોની સુરક્ષા માટે સહાયરૂપ બનશે. શિવરાત્રીનો મેળો અને અન્ય પર્વ પરિક્રમા સહિતના લોક મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. આ ઉપરાંત પ્રવાસીઓની પણ સંખ્યા વધી હોય આ સીસીટીવી કેમેરા પોલીસની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવશે. જિલ્લા પોલીસવડા શ્રી સુબોધ ઓડેદરાએ ભવનાથ અને ગિરનાર સીસીટીવી નેત્રમ સર્વેન્સ અંગેની જરૂરી માહિતી નાયબ મુખ્યમંત્રી શ્રી ને આપી હતી.
આણંદ શહેરના સામરખા ચોકડી નજીક આવેલા જવાહર નગરમાં એક લગ્ન પ્રસંગમાં વર અને કન્યા પક્ષ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. લેવડ-દેવડની સામાન્ય બાબતે શરૂ થયેલી આ મારામારીમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના મંગળ ફેરા બાદ બની હતી. ધંધુકાથી આવેલી જાન જવાહર નગરમાં પહોંચી હતી. લગ્ન વિધિ સુખરૂપ સંપન્ન થઈ ગઈ હતી અને નવદંપતીએ સાત ફેરા પણ ફરી લીધા હતા. જોકે, લગ્ન પૂર્ણ થયા બાદ રીત-રિવાજ મુજબની લેવડ-દેવડ અને વ્યવહાર બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બોલાચાલી વધતા લગ્ન મંડપ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. બંને પક્ષના લોકો સામસામે આવી ગયા અને છૂટા હાથની મારામારી શરૂ કરી. મંડપમાં પડેલી ખુરશીઓ, લાકડીઓ અને પથ્થરો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો. આ હિંસક ઝઘડામાં વર અને કન્યા પક્ષના કુલ 8થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ મારામારીના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જે વર-કન્યાની વિદાય થવાની હતી, તેમને પોલીસ મથકે જવું પડ્યું. પોલીસે બંને પક્ષોને શાંત પાડી કાયદાકીય ગૂંચવણ ટાળવા માટે સમજાવટના પ્રયાસો કર્યા. પોલીસની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. આખરે મોડી રાત્રે પોલીસ મથકેથી જ કન્યાની વિદાય કરવામાં આવી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કુખ્યાત અમન ઉર્ફે બચ્ચાની ધરપકડ કરી હતી.અમન રાજસ્થાનના 20થી વધુ ગંભીર ગુનાનો આરોપી છે.અમનને રાજસ્થાનમાં હવે ગેંગ ચલાવતા એન્કાઉન્ટર થાય તેવો ડર હતો જેના કારણે અમદાવાદમાં નેટવર્ક શરૂ કરવા માટે આવ્યો હતો.અમન, લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં હતો.બે દિવસમાં અમન નવી ગેંગ શરૂ કરવા માટે અલગ અલગ ડીલરને મળ્યો પણ હતો અને બે ત્રણ ટાર્ગેટ પણ નક્કી કર્યા હતા.જોકે ક્રાઈમ બ્રાન્ચે કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ ધરપકડ કરી લીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અમનને તેના સાગરીત સાથે દબોચ્યો હતોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આઈ.એન ઘાસુરા અને તેમની ટીમે 10 ફેબ્રુઆરીની વહેલી સવારે રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રવિ ગોદારા ગેંગના અમન ઉર્ફે બચ્ચાની ધરપકડ કરી હતી. અમનની સાથે તેનો સાગરિત સુહેબ પણ ઝડપાયો હતો.આ બંને બે દિવસથી અમદાવાદમાં આવ્યા હતા.અમન અમદાવાદમાંથી પોતાનું નવું નેટવર્ક શરૂ કરી અહીંથી જ નેટવર્ક ચલાવવા માટે આવ્યો હતો. અમદાવાદમાં ગુનાહિત નેટવર્ક શરૂ કરવા વેપન, ડ્રગ્સ ડીલરને મળ્યો હતોનવું નેટવર્ક ઊભું કરવા માટે અમન અમદાવાદમાં વેપન ડીલર, ડ્રગ્સ ડીલર અને જમીન દલાલને મળ્યો હતો.અમદાવાદમાં જમીનનું મોટાપાયે કામકાજ શરૂ કરવાનો પણ અમનનો પ્લાન હતો.અમદાવાદમાંથી જ નવા છોકરાઓ ગેંગ માટે કામ કરે તેની પણ શોધખોળ કરતો હતો,આ માટે કેટલાક લોકોને પણ મળ્યો હતો.અમનના સગા અમદાવાદમાં રહે છે તેમની પણ હાલ તપાસ ચાલી રહી છે. 6 વર્ષથી જેલમાં બંધ એક મહિના પહેલા જ બહાર આવ્યો હતોઅમન છેલ્લા 6 વર્ષથી જેલમાં હતો.એક મહિના અગાઉ જ તે જામીન પર બહાર આવ્યો છે.અમન જેલમાં હતો ત્યારે પણ નેટવર્ક ચાલુ જ હતું.અમનની ગેંગના કેટલાક લોકો દ્વારા અમનના નામના ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવી લોકો પાસેથી ખંડણી લેવામાં આવતી હતી.અમન લોરેન્સ બિશનોઇના પણ સંપર્કમાં હતો. અમદાવાદમાં અમને કોની કોની સાથે મુલાકાત કરી?, પોલીસે તપાસ શરૂ કરીઅમન અમદાવાદમાં બે દિવસ રોકાયો ત્યારે જેને મળ્યો તે તમામની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમને કોઈ ડીલ કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.અમન અમદાવાદમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ તો કરી લીધી છે પરંતુ હાલ તે જેના સંપર્કમાં હતો તેની તપાસ ચાલી રહી છે જે પૂર્ણ થતા અનેક મોટા ખુલાસા થઈ શકે છે. આ સમાચાર પણ વાંચોઃ2 કુખ્યાત ગેંગસ્ટરને ક્રેટામાંથી કોલર પકડીને બહાર કાઢ્યા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાસણા વેજલપુર રોડ પરથી રાજસ્થાનની કુખ્યાત ગેંગના અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ પઠાણની ધરપકડ કરી છે. બંનેને પકડવા ક્રાઇમ બ્રાન્ચનું 7 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. જેમાં ગેંગસ્ટરને એક પીઆઇ સહિત 6 પોલીસકર્મીની ટીમે ઝડપી પાડ્યા હતા. હાલ બંનેને કોટા પોલીસને સોંપવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે રવિ ગોદારા ગેંગના 2 કુખ્યાત ગેંગસ્ટરને ક્રેટામાંથી કોલર પકડીને બહાર કાઢ્યા ને પોલીસ વાનમાં બેસાડ્યા. રાજસ્થાનમા ગેંગ બાદ અમદાવાદને ગેંગ ચલાવવા પસંદ કર્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
રાજકોટ શહેરમાંથી થયેલી રૂ. 1.62 કરોડની કિંમતની 140 કિલો ચાંદી ચોરી કેસમાં પોલીસે મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 2 લાખ રોકડા, ગુનામાં વપરાયેલી ક્રેટા અને ફોર્ચ્યુનગર કાર અને ચોરીમાં ગયેલી 30 કિલો ચાંદી કબજે કરી છે. રાજસ્થાનથી મુખ્ય આરોપી શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસીંગ રાજપૂત રાજકોટમાં રહી રેકી કર્યા બાદ રતનસિંગ રાઠોડ સાથે મળી ચાંદી ચોરી અંગે પ્લાન બનાવ્યો હતો જેમાં તેને બોટાદના રાજુ ભોજકે મદદ કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ચોરી કર્યા બાદ મુદ્દામાલની બોટાદમાં ભાગબટાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર આરોપી ફોર્ચ્યુનર કારમાં અમદાવાદ નાશી છૂટ્યા હતા. 140 કિલો ચાંદી ચોરી કેસમાં પોલીસ અત્યાર સુધીમાં 4 આરોપીઓને ઝડપી ચૂકી છે જેઓ પાસેથી 110 કિલો ચાંદી મળી આવી છે. જ્યારે પાંચ આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી સેલસીંગ, રતનસીંગ અને રાજુ ભોજક દારૂનો પણ ધંધો કરતા હોવાથી અગાઉથી તમામ એક બીજા સંપર્કમાં હતા અને તેના જ કારણે આવડી મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બનાસકાંઠા અને બોટાદના બે આરોપીઓની ધરપકડરાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 140 કિલો જેટલી ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાયા બાદ અલગ અલગ 8 ટિમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ચોરીમાં સંડોવાયેલ મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠાના રતનસિંગ રાઠોડ અને બોટાદના રાજુ ઉર્ફે રાજા ભોજકની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે ચોરીમાં વપરાયેલા કાળા કલરની ક્રેટા કાર, રોકડ રૂપિયા બે લાખ 30 કિલો 540 ગ્રામ ચાંદી અને એક ફોર્ચ્યુનર કાર મળી કુલ 77.73 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓ પૈકી રતનસિંગ રાઠોડ વિરુધ્ધ 3 અને રાજુ ઉર્ફે રાજા વિરુધ્ધ 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. શૈલેન્દ્રસિંહ ઉર્ફે સેલસીંગ એક મહિનાથી રાજકોટમાં આંટાફેરા કરતોપોલીસના જણાવ્યા મુજબ આખાએ ચોરી કેસમા ચોરી કરવા માટે મુખ્ય બે લોકોએ પ્લાન બનાવ્યો હતો જેમાં રાજસ્થાનના શૈલેન્દ્રસીંગ ઉર્ફે સેલસીંગ રાજપૂત અને રતનસિંગ રાઠોડનો સમાવેશ થાય છે. શૈલેન્દ્રસીંગ છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ રહી આંટા ફેરા કરતો અને જુદા જુદા વિસ્તારમાં રેકી કરતો હતો. ચોરીને અંજામ આપવા રાજસ્થાન અને ગુજરાતના લોકોની મદદ લીધીરેકી કર્યા બાદ શૈલેન્દ્રસિંહે ચોરીને અંજામ આપવા માટે રાજસ્થાનથી મુકેશ રામારામ પ્રજાપતિ અને છોટુ ભૈયાને સાથે લઇ અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ આવી આરોપી રતનસીંગ રાઠોડને મળ્યા હતા. અહિયાંથી ચારેય આરોપીઓ સાથે મળી બોટાદના આરોપી રાજુ ઉર્ફે રાજા ભોજક પાસે પહોંચ્યા હતા જ્યાંથી રાજુએ ક્રેટા કારની વ્યવસ્થા કરી આપી હતી અને તેમની સાથે એક માણસ જગદીશ ભોજકને મોકલ્યો હતો. બોટાદથી રાજકોટ ક્રેટા કારમાં ચોરી કરવા આવ્યા, ચોરી કરી પરત બોટાદ ગયાબોટાદથી જસદણ સુધી તમામ આરોપીને રાજુ ભોજક મુકવા આવ્યો હતો અને પછી આગળ રાજકોટ શહેરમાં કાળા કલરની ક્રેટા કાર લઇ 5 આરોપીઓ આવ્યા હતા અને શક્તિ સિલ્વર પેઢીમાંથી અંદાજિત 140 કિલોગ્રામ ચાંદીના ઘરેણાં ચોરીને અંજામ આપ્યો હતો. અહીંયા ચોરીને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પરત રાજુ ભોજકના ઘરે બોટાદ ગયા હતા જ્યાંથી ચોરી કરેલ ચાંદીના ઘરેણાંની ભાગ બટાઇ કરવામાં આવી હતી. બાદમાં અમદાવાદથી આવેલા ચાર આરોપીને ફોર્ચ્યુનર કારમાં રાજુ ભોજક મુકવા માટે ગયો હતો. દારૂના ધંધાના કારણે આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતાઆરોપીઓ પૈકી રતનસિંગ અને શૈલેન્દ્રસિંગ બન્ને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ હોવાથી બન્ને એક બીજા સાથે પહેલેથી સંપર્કમાં હતા. બન્ને આરોપીઓએ સાથે મળી ચોરી કરવા માટે અમદાવાદ પહોંચી પ્લાન બનાવ્યો હતો. અમદાવાદથી તેઓ ટેલિફોનિક સંપર્ક કરી બોટાદના રાજુ ભોજક સાથે સંપર્ક કર્યો હતો. રાજુ ભોજક પણ પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. રાજુ ભોજકને આરોપી રતનસિંગ પ્રોહીબીશનનો માલ સપ્લાય કરતો હતો. રાજકોટમાં ચાંદીનો મોટો જથ્થો હોવાની બાતમી સેલસીંગને મળી હતી અને બાદમાં સેલસીંગ અને રતનસિંગએ સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો જો કે શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસીંગને કેવી રીતે માહિતી મળી અને તેને બાતમી કોઈ અન્યએ આપી હતી કે કેમ તે અંગે માહિતી આરોપી શૈલેન્દ્રસીંગ પકડાયા બાદ સામે આવી શકે તેમ છે. અત્યાર સુધીમાં 9માંથી 4 આરોપીઓ ઝડપાયારાજકોટના ચાંદી ચોરી કેસમાં મુખ્ય 5 આરોપીઓ ચોરી કરવા માટે આવ્યા હતા તેમજ એક આરોપી રાજુ ભોજક સુવિધા પુરી પાડી હતી જયારે ભાગ બટાઈ બાદ રીસીવર તરીકે બે આરોપી મનુસિંગ અને પ્રદિપ પ્રજાપતિને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 80 કિલો ચાંદી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેથી આ કેસમાં 9 આરોપીઓ પૈકી ચાર આરોપી ઝડપાઇ ચુક્યા છે અને બાકીના 5 આરોપીઓને ઝડપી પાડવા માટે હજુ પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા ક્રેટામાં ખોટી નંબર પ્લેટ લગાડી હતીપોલીસ તપાસ દરમિયાન ચોરીમાં વપરાયેલ કાળા કલરની ક્રેટા કાર ચોટીલાના ધરમસિંહ નામના વ્યકિતની હતી જેને આ કાર રાજુ ભોજકને વહેંચી દીધી હતી પરંતુ આ કાર રાજુ ભોજક દ્વારા પોતાના નામે કરવામાં આવી ન હતી. ધરમસિંહ નામનો આરોપી પણ હાલ ફ્રોડ કેસમાં જેલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. જયારે ચોરી કરતા સમયે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ ખોટી નંબર પ્લેટ લગાડી હતી.
બેંગકોકથી સુરત આવતી ફ્લાઇટમાં ઉપરાઉપરી સતત બે દિવસ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવતા કસ્ટમ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પેડલરો હાઇબ્રિડ ગાંજો ફ્લાઇટમાં બિનવારસી હાલતમાં છોડી દેતા હતા, તો ગાંજો બહાર કેવી રીતે નીકળ્યો તે લિંક શોધવા માટે કસ્ટમ્સના સિનિયર અધિકારીઓ દ્વારા ફ્લાઇટના ક્રૂ મેમ્બર, ફ્લાઇટમાં સાફ-સફાઈ કરતાં સફાઈ કર્મચારીઓ, ફ્લાઇટમાં અવરજવર કરતા લોડર સ્ટાફ અને સિક્યોરિટી ટીમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ફ્લાઇટ જ્યારે એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારબાદ થયેલી મૂવમેન્ટના સીસીટીવી ફૂટેજની પણ તપાસ ચાલી રહી છે. બેંગકોકથી આવતી ફ્લાઇટના મુસાફરો પર વોચ રાખવાના આદેશસુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ એરપોર્ટ પર પણ બેંગકોકથી આવતી ફ્લાઇટમાં આંતરે દિવસે હાઇબ્રિડ ગાંજો આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેને પગલે કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા કરાયેલા રિપોર્ટને આધારે દેશભરમાં બેંગકોકથી આવતી સીધી ફ્લાઇટ અથવા વાયા બેંગકોકથી આવતી ફ્લાઇટના મુસાફરો પર વોચ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. જે પેડલર અગાઉ પકડાઈ ચૂક્યા હોય તેમની પ્રોફાઇલ પણ તમામ એરપોર્ટ પર હાથવગી રાખીને તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
આવનાર વિધાનસભા સત્ર પહેલા ભાજપ સંગઠનમાં આંતરિક ચિંતા ઉભી થઈ છે. મળતી માહિતી મુજબ ભાજપના ઘણા ધારાસભ્યો દ્વારા ગૃહમાં પૂછવાના પ્રશ્નોની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી નોંધાઈ છે. વિધાનસભા સત્રમાં સરકારના કામકાજ અને જાહેર હિતના મુદ્દાઓ ઉઠાવવા માટે પ્રશ્નોત્તરી કલાકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ધારાસભ્યોની ઉદાસીનતા સામે આવી છે. ધારાસભ્યોને તાત્કાલિક વધુમાં વધુ પ્રશ્નો મોકલવા કડક સૂચનાપક્ષના આંતરિક સ્તરે થયેલી સમીક્ષા બેઠકમાં જાણવા મળ્યું કે, અનેક ધારાસભ્યોએ અત્યાર સુધી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં પ્રશ્નો નોંધાવ્યા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં ભાજપના મુખ્ય દંડક કચેરી દ્વારા તમામ ધારાસભ્યોને તાત્કાલિક વધુમાં વધુ પ્રશ્નો મોકલવા કડક સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દરેક ધારાસભ્યે પોતાના મતવિસ્તાર તેમજ રાજ્યસ્તરના મહત્વના મુદ્દાઓ પર સક્રિયતા દર્શાવી ગૃહમાં પ્રશ્નો ઉઠાવવાના છે. ખાસ કરીને વિકાસકાર્યો, પાયાની સુવિધાઓ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર પ્રશ્નો નોંધાવવા ભાર મૂકવામાં આવ્યો છે. તમામ પ્રશ્નો સમયસર મોકલવા જરૂરીમુખ્ય દંડક ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે સત્ર શરૂ થાય તે પહેલાં તમામ પ્રશ્નો સમયસર મોકલવા જરૂરી છે. જો કોઈ ધારાસભ્ય દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવશે તો તેને લઈને પક્ષ આંતરિક સ્તરે નોંધ લેશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. વિધાનસભા સત્રમાં સક્રિય હાજરી અને અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા ભાજપ સંગઠન દ્વારા હવે ‘એક્ટિવ લેજિસ્લેટિવ પરફોર્મન્સ’ પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યો છે.
વલ્લભ વિદ્યાનગરની સીવીએમ યુનિવર્સિટી ખાતે 39મા આંતર-યુનિવર્સિટી પશ્ચિમ ઝોન યુવા મહોત્સવ ‘પશ્ચિમાંચલ-2026’નો શુભારંભ થયો છે. આ મહોત્સવમાં ગુજરાત અને રાજસ્થાનની 32થી વધુ યુનિવર્સિટીઓના 1597 યુવા કલાકારો ભાગ લઈ રહ્યા છે.મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જાણીતા અભિનેતા મનોજ જોશીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતની સંસ્કૃતિ માત્ર પરંપરા નહીં, પરંતુ વિશ્વની શ્રેષ્ઠ વિરાસત છે. જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે, સંસ્કૃતિ વગરનો દેશ ગીધ જેવો છે અને કલા જ મનુષ્યને પશુ બનતા રોકે છે. તેમણે સરદાર પટેલ અને ભાઈકાકાના રાષ્ટ્ર નિર્માણના વિઝનને યાદ કરીને વિદ્યાર્થીઓને આવા યુથ ફેસ્ટિવલમાંથી જ પોતાની કારકિર્દી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મનોજ જોશી, સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવનો શુભારંભ કરાયો હતો. આ ઉત્સવનું આયોજન એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) દ્વારા કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલે આ આયોજનને ‘એક ભારત - શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મજબૂત કરનારો અવસર ગણાવ્યો હતો. આ પાંચ દિવસીય મહોત્સવ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં લોકનૃત્ય, થિયેટર અને સંગીત સહિત 28 જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. માનદ સહમંત્રી મેહુલ પટેલે આણંદમાં આવા સ્તરની ઇવેન્ટ યોજાવાને ગૌરવપૂર્ણ ગણાવ્યું હતું. પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજિત પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. સંદીપ વાલિયાના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ યુવા પ્રતિભાઓ માટે કારકિર્દીનું પ્રથમ પગથિયું સાબિત થશે.
અમરેલી શહેરમાં શાંતાબા મેડિકલ કોલેજ ખાતે 'સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા' વિષય પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા દ્વારા સ્થાપિત કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, અમરેલી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં નૈતિક મૂલ્યો, આત્મશક્તિ અને જીવન વ્યવસ્થાપનની સમજ વિકસાવવાનો હતો. શિક્ષણવિદ બિપીનભાઈ જોશીએ ભગવદ્દ ગીતાના ઉપદેશો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં ધર્મ, કર્મ અને કર્તવ્યની મહત્તા સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવદ્દ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની વૈજ્ઞાનિક માર્ગદર્શિકા છે. જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે ગીતાના શ્લોકો માનવીને આત્મવિશ્વાસ, સંયમ, કર્તવ્યનિષ્ઠા અને સકારાત્મક દૃષ્ટિકોણ પ્રદાન કરે છે, જે આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાઓ માટે અત્યંત ઉપયોગી છે. પરિસંવાદમાં ગીતાના કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ જેવા સિદ્ધાંતોનું સરળ અને વ્યવહારુ ઉદાહરણો સાથે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પડકારો સામે અડગ રહેવા અને લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયાના અંગત મદદનીશ ભાવેશ ભાલીયાએ કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આયોજનને બિરદાવ્યું હતું અને જીવનમાં ભગવદ્દ ગીતાના ઉપદેશનું મૂલ્ય સમજાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા, પ્રો. જે. એમ. તળાવિયા, સિવિલ હોસ્પિટલ અમરેલીના આર. એમ. ઓ. ડો. સતાણી, ડો. વિજય વાળા, કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ સિદ્ધપુરા સહિત કોલેજના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ પરિસંવાદને પ્રેરણાદાયી અને માર્ગદર્શક ગણાવ્યો હતો. આગામી દિવસોમાં આ ઉપક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાં ગીતાજ્ઞાનના પાઠ ભણાવવામાં આવશે.
અમરેલીમાં હડકાયેલી નીલગાયનો બે લોકો પર હુમલો:કણકોટ ગામમાં ભયનો માહોલ, વનવિભાગે રેસ્ક્યુ શરૂ કર્યું
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કણકોટ ગામ નજીક એક નીલગાયને હડકવા ઉપડ્યો હતો. આ હડકાયેલી નીલગાયે બે ગ્રામજનો પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હુમલામાં રમેશભાઈ વાલજીભાઈ બાબરીયા (ઉં. 50) અને ભાનુબેન ગોસાઈ (ઉં. 45) ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અમરેલીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. નીલગાયના હુમલાને કારણે કણકોટ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. હડકાયેલી નીલગાય ગામની ગલીઓ અને ખેતર વિસ્તારમાં સતત દોડતી રહેતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ હતી. ઘણા લોકોએ સુરક્ષિત સ્થળોએ આશ્રય લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ લીલીયા રેન્જના RFO સહિત વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા નીલગાયને કાબૂમાં લેવા અને પકડવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાપીમાં ગુંજન વિસ્તારમાં અકસ્માત:ડમ્પરે બાઈક ચાલકને 40 મીટર ઘસેડ્યો, ઘટના CCTVમાં કેદ
વલસાડ જિલ્લાના વાપીમાં ગુંજન વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને લગભગ 30 થી 40 મીટર સુધી તેના આગલા ટાયરમાં ઘસેડ્યો હતો. સ્થાનિક લોકોની નજર પડતા તેમણે ડમ્પર ચાલકને અટકાવ્યો હતો. અકસ્માત બાદ બાઈકને ડમ્પરના ટાયર નીચેથી બહાર કાઢી ઘાયલ બાઈક ચાલકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાપીના ગુંજન જેવા ભરચક વિસ્તારમાં બનેલી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાપી જીઆઇડીસી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વાપી સેશન્સ કોર્ટે પ્રેસ મીડિયાના નામે ટ્રાન્સપોર્ટર પાસેથી રૂ.1.20 લાખની ખંડણી પડાવવાના કેસમાં કથિત પત્રકાર યુનુસ દાઉદ શેખની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આ નિર્ણય સંભળાવ્યો હતો. આ કેસ જાન્યુઆરી માસમાં વાપી ટાઉન પોલીસ મથકે નોંધાયો હતો. ફરિયાદના આધારે, વાપી ટાઉન પોલીસે યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ કરી હતી. આરોપી પર પ્રેસના નામે ધમકી આપી ટ્રાન્સપોર્ટર પાસેથી નાણાં પડાવવાનો આરોપ છે. આરોપી યુનુસ શેખે ટ્રાન્સપોર્ટરના વાહનો ઓવરલોડ હોવાનું અને વેસ્ટનું પાણી રોડ પર પડતું હોવાનું કહી ધમકાવ્યા હતા. તેણે મીડિયામાં બદનામ કરવાની અને સરકારી વિભાગોમાં ફરિયાદ કરીને જેલ ભેગા કરવાની ધમકી આપી હતી, જેના બદલામાં તેણે પૈસાની માંગણી કરી હતી. વાપી સેશન્સ કોર્ટમાં આરોપીએ જેલમુક્ત થવા માટે જામીન અરજી કરી હતી. આ અરજી પર સરકારી વકીલ રાકેશ ચાપાનેરીયાએ દલીલો રજૂ કરી હતી, જેને વાપી સેશન્સ કોર્ટના જજ પુષ્પા સૈનીએ માન્ય રાખી હતી. જજે આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
કોહવાયેલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા:સેવાભાવી યુવાન અને પોલીસે મળીને ફરજ નિભાવી
જોરાવરનગર વિસ્તારમાં ચાર-પાંચ દિવસથી ઘરમાં પડેલા રાજુભાઈ નાનજીભાઈ જાદવના કોહવાયેલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરિવારમાં માત્ર એક અસ્થિર મગજના ભાઈ હોવાથી કોઈને જાણ થઈ ન હતી. મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં હતો અને તેમાં જીવાત પડી ગઈ હતી, જેના કારણે કોઈ તેની નજીક જઈ શકે તેમ નહોતું. આસપાસના રહીશોએ આઝાદ સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્યનો સંપર્ક કર્યો અને જોરાવરનગર પોલીસને જાણ કરી. જોરાવરનગર પી.આઈ. સાહેબની સૂચનાથી એ.એસ.આઈ. મૂળજીભાઈ મકવાણા, સ્ટાફના યુવરાજસિંહ, સામાજિક આગેવાન નાનભા જાડેજા અને કેતનભાઈ શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.પોલીસે હાજર રહીને આ કોહવાયેલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા, જેનાથી સમાજ પ્રત્યેની તેમની ફરજ પૂર્ણ થઈ.
મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક રહેણાંક મકાન આગળ પાર્ક કરેલી કારમાં અચાનક 6 ફૂટ લાંબો સાપ ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય અને હલચલ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર માલિકે પોતાના મકાનની આગળ કાર પાર્ક કરી હતી. થોડા સમય બાદ તેમની નજર કારની અંદર પડતાં પાછળની સીટ નજીક કોઈ હલચલ જોવા મળી હતી. નજીક જઈ તપાસ કરતાં અંદર સાપ હોવાની આશંકા જણાઈ હતી. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં જ વન વિભાગની ટીમ તેમજ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના હિતેશભાઈ પ્રજાપતિએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી કારની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ કારની પાછળની સીટ બાજુથી અંદાજિત છ ફૂટ લાંબા ધામણ પ્રજાતિના સાપને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને યોગ્ય અને સુરક્ષિત કુદરતી આવાસમાં છોડવામાં આવ્યો હતો. ધામણ સાપ સામાન્ય રીતે નિર્વિષ (બિનઝેરી) હોય છે, પરંતુ તેનો કદ મોટો હોવાને કારણે લોકોમાં ભય ફેલાય છે.
બાંગ્લાદેશની ચીન-પાકિસ્તાન સાથે મોટી ડીલથી ભડક્યું અમેરિકા, યુનુસ સરકારને ઓફર સાથે આપી ચેતવણી
US Warns Bangladesh Over China-Pakistan Defense Deal : દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવને લઈને અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. આ કારણોસર અમેરિકા બાંગ્લાદેશની નવી સરકારને ચીની હથિયારોના બદલે અમેરિકન અને તેના સહયોગી દેશોની ડિફેન્સ સિસ્ટમ આપવાની યોજના બનાવી રહ્યું છે. ઢાકામાં અમેરિકી રાજદૂત બ્રન્ટ ટી. ક્રિસ્ટનસને આ માહિતી આપી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે.
CM ભૂપેન્દ્ર પટેલે અમૂલ AIનું લોકાર્પણ કર્યું:કૃષિ, પશુપાલન ક્ષેત્રને આધુનિક બનાવવાનો માઈલસ્ટોન બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં અમૂલની મોબાઈલ એપ્લિકેશન અમૂલ AIનું લોકાર્પણ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક તથા આત્મનિર્ભર બનાવવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. મુખ્યમંત્રીએ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની સફળતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, જ્યારે વડાપ્રધાને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરાવી ત્યારે તેની સફળતા અંગે શંકા હતી. આજે ભારત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં અગ્રેસર છે, જેમાં નાના વેપારીઓથી લઈને શાકભાજીની લારી અને ચાની કીટલીવાળા પણ ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ કરે છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને હંમેશા નાના ખેડૂતો અને પશુપાલકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે, તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો ધ્યેય રાખ્યો છે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ દૂધ ઉત્પાદકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. ડેરી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે 20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરવા વિશેષ ફંડની જોગવાઈ પણ કેન્દ્રીય બજેટમાં કરાઈ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અમૂલે પોતાના સભાસદો અને દૂધ ઉત્પાદકોને વધુ આવક મળે તે માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અમૂલે પોતાની સુવિકસિત આઈ.ટી. સિસ્ટમમાં પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને સભાસદોના ડેટાબેઝને ઇન્ટિગ્રેટ કરીને હવે અમૂલ AI દ્વારા 'એડવાન્ટેજ ઇન્ડિયા' માટે સજ્જ થયું છે. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વિકસિત દેશો દ્વારા ભારતમાં દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ દાખલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે દબાણ હતું. જો આવું થાત તો દેશના કરોડો પશુપાલકોને અસર થાત. તેમણે કહ્યું કે, વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય રાજનીતિ સામે મક્કમતાથી ઊભા રહીને ભારતીય પશુપાલકોના હિતનું રક્ષણ કર્યું અને દૂધને મુક્ત વ્યાપાર કરારોમાંથી બહાર રાખ્યું. કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આજે 94% જેટલી રકમ સીધી જ પશુપાલક બહેનોના બેંક ખાતામાં જમા થાય છે, જે આર્થિક સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે.
Bank strike: કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે આવતીકાલે 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બૅંક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે. હડતાળના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને જાણ કરી છે કે 12 ફેબ્રુઆરીએ હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મહાગુજરાત બૅંક એમ્પ્લોઇઝ ઍસોસિએશન (MGBEA) દ્વારા બૅંક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બૅંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે. ચાર લેબર કોડ(શ્રમ કાયદા)નો વિરોધ
મીરા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં પરિવારનો એક વર્ષનો બાળક કલી હનીફભાઇ અંસારી ગઈકાલે સાંજે ઘરે રમતો હતો, ત્યારે દીકરો જોવા ન મળતા માતાએ તપાસ કરતાં તે પાણી ભરેલી ડોલમાં ડૂબેલો મળતાં દેકારો મચાવ્યો હતો. જેથી આસપાસના લોકો એકઠા થઇ જતાં બાળકને સારવાર માટે બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડયો હતો, પરંતુ અહિ તેને તપાસી મૃત જાહેર કરી બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ખોડિયાર મંદિરમાંથી માતાજીનો મુકુટ ચોરીરાજકોટ ગાંધીગ્રામ પોલીસ ટીમ ચોરીના ગુના ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમી આધારે શીતલ પાર્ક ટોઇંગ સ્ટેશન નજીક એક શખસને સકંજામાં લીધો હતો. તેની પાસેથી સોનાનો મુકુટ મળતાં આ મામલે તેની આકરી પુછતાછ કરતાં લોહાનગરમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કર્યાનું કબુલતા કરી હતી. પોલીસે મુકુટ કબ્જે કરી પુછપરછ કરતા આ શખસે પોતાનું નામ વિજય બહાદુરભાઇ સોલંકી (ઉ.વ.46) જણાવ્યું હતું. ગત મંગળવારે વિજયએ મંદિરમાં ઘુસી માતાજીની મુર્તિ પરથી 35.590 ગ્રામ વજનનો 4.50 લાખનો સોનાનો મુકુટ ચોરી લીધો હતો. વિજયએ રટણ કર્યુ હતું કે પોતે કેશીયો પાર્ટીમાં કામ કરે છે, પરંતુ હાલમાં ધંધામાં મંદી હોઇ અને પૈસાની જરૂર હોવાથી મંદિરમાં ચોરી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ દારૂ, વાહનચોરી સહીત ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સગીરાનો એસીડ પી આપઘાતનો પ્રયાસરાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર એરપોર્ટ નજીક આવેલા કુચિયાદડ ગામે રહેતી સગીરા તેના મોબાઈલમાં રિલ્સ જોતી હતી, ત્યારે તેમના માતાએ તેમને સુઈ જવાનું કહેતા તેણીને લાગી આવ્યું હતું અને કોઈ પણ જાતના વિચાર કર્યા વગર એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સગીરા એક ભાઈ બે બહેનમાં નાની હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ફેમિલી કોર્ટે પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યોરાજકોટના રૈયા રોડ પર જ્ઞાન જીવન સોસાયટીમા રહેતી પરિણીતાના લગ્ન કેશોદ રહેતા કેયુરગીરી નરેન્દ્રગીરી ગોસાઈ સાથે 2019મા થયા હતા. લગ્નબાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં પરિણીતાને તરછોડી દેતા રાજકોટની ફેમિલી કોર્ટમાં પતિ પાસેથી ભરણ પોષણની માગ કરતી અરજી 2021માં કરવામાં આવી હતી. જેમા પતિ હાજર થતાં લાગતા વળગતા સાહેદાની જુબાની નોંધવામાં આવી હતી. અરજી દલીલ પર આવતાં પરિણીતાના વકીલએ દલીલો રજુ કરી પતિને પુરતી આવક હોવાથી અને પરિણીતાની કોઈ આવક પતિ સાબીત કરી ન શકતા રાજકોટની ફેમિલી કોર્ટે અરજીની દાખલ તારીખથી માસિક રૂ.12,000 ભરણપોષણના ચૂકવવા આદેશ કર્યો છે તેમજ અરજી ખર્ચના રૂ.5000 અલગથી મંજુર કર્યા હતા. હુકમ મુજબ પરિણીતા પતિ પાસેથી અરજી ખર્ચ સહિત આજ દિવસ સુધી કુલ રૂ. 6.41 લાખ અને હવે પછી દર મહિને ભરણપોષણની રકમ રૂ.12,000 ભરવા હુકમ કરવામાં આવ્યો છે.
અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલોના અંતે એવી વેધક ટકોર કરી હતી કે, કોઇપણ રિ-સર્વે કે ફ્રેશ પ્રક્રિયા વિના માત્ર ભદ્રમાં ખૂબ ટ્રાફિક થઇ ગયો હોવાની દલીલ કરીને ભદ્ર ખાતેથી વેન્ડર્સને હટાવવાનું કોર્પોરેશનનું કૃત્ય 2019માં હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના સમાન છે અને વેન્ડર્સ એક્ટની કલમ-21ની જોગવાઇનો પણ ભંગ કરે છે. કોર્પોરેશન વેન્ડર્સને રિલોકેટ કરશે તો જ અરજીનો નિકાલ થશેહાઇકોર્ટ આ બાબતે અત્યંત સ્પષ્ટ છે અને હવે કોર્પોરેશનનો શું પ્રસ્તાવ છે અને હાઇકોર્ટના અગાઉના આદેશનો અમલ કઇ રીતે કરશો એ કોર્ટને જણાવો. જો કોર્પોરેશન વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો જ અરજીનો નિકાલ થશે અન્યથા ફરી કોર્ટ સ્પષ્ટ કરે છે કે AMC નું આ કૃત્ય કોર્ટના આદેશની અવમાનના સમાન અને કાયદાનો સદંતર ભંગ છે. આ કેસમાં કોર્પોરેશનને બુધવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. AMCએ 2019 પછી રિ-સર્વે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છેહાઇકોર્ટે ભદ્ર પાથરણાવાળાઓના કેસની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણ અને કૃત્યની મૌખિક રીતે ભારે ટીકા કરી હતી. કોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે, કાયદાકીય જોગવાઇઓ મુજબ નિર્વિવાદ છે કે આ જગ્યા નો વેન્ડિંગ ઝોન જાહેર કરાઇ નથી. ઉલટાનું આ જોગવાઇઓ ટાઉન વેન્ડિંગ કમિટીને સત્તા આપે છે કે તેઓ દર 05 વર્ષે રિ-સરવે કરી શકે. એકવાર શરૂઆતમાં કોર્પોરેશન બધાને જગ્યાની ફાળવણી વગેરે કરી લે એના પછી દર પાંચ વર્ષે તમારે સ્ટ્રીટ વેન્ડર્સને પ્રમોટ કરવા પડે. કોર્પોરેશન હસ્તક આ સત્તા આવે છે. એ ટાઉન વેન્ડિંગ કમિટીની ભલામણ અને પ્લાનિંગ ઓથોરિટી સાથે પરામર્શ બાદ રિ-સર્વે કરી શકે છે પરંતુ, AMCએ 2019 પછી રિ-સર્વે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે અને હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી અને એના આધારે થયેલા આદેશનો પણ ભંગ કરીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે. કોર્ટ કોર્પોરેશનને રિ-સર્વે કરવાથી અટકાવતા નથીહાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, હવે કોર્પોરેશન આ મામલે યુ-ટર્ન લઇ શકે નહીં. આઇડેન્ટિફાઇ કરાયેલા હોય તેવા વેન્ડર્સ સિવાય કોઇને પણ તમે દૂર કરી શકો, હટાવી શકો. તમે 844 વેન્ડર્સને આઇડેન્ટિફાઇ કર્યા હોવાનું સોગંદનામું કર્યું છે ત્યારે કોર્પોરેશન તરીકે તમારી ફરજ છે કે કાયદાની જોગવાઇ મુજબ તમે પ્લાન બનાવો. કોર્ટ કોર્પોરેશનને રિ-સર્વે કરવાથી અટકાવતા નથી, એ AMCની સત્તાનો વિષય છે પરંતુ, તમે જે સર્વે કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટે આદેશ કર્યા હતા પણ પછી તમે રિ-સર્વે કર્યો નથી. પરંતુ જે તે સમયે તમે જે વેન્ડર્સનું આઇડેન્ટિફિકેશન કર્યું હતું અને સર્ટિફિકેટ આપ્યા હતા એમના રિ-આઇડેન્ટિફિકેશનનો હવે કોઇ પ્રશ્ન જ થતો નથી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, વર્ષ 2019 પછીના કિસ્સામાં તમારી માટે તમામ દરવાજા ખૂલ્લાં છે. પરંતુ જ્યારે તમે વેન્ડર્સને રિલોકેટ કરશો ત્યારે જ આ રિટનો નિકાલ કરવામાં આવશે. અન્યથા તમારું કૃત્ય કોર્ટની અવમાનના જ નહીં કાયદાની જોગવાઇઓથી વિપરીત પણ ગણાશે. જો તમે સકારાત્મક પ્રસ્તાવ સાથે સામે નહીં આવો તો કોર્ટને જણાવજો કે કોના આદેશથી 2025માં તેમને ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા. 844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો?હાઇકોર્ટે આજની સુનવણીમાં AMC ને સવાલો કર્યા હતા કે વેન્ડર્સ એક્ટની કલમ-21માં રિ-સરવેની વ્યાખ્યા કરાઇ છે અને તમે રિ-સરવે કર્યો જ નથી, ત્યારે તમને કાયદાના આ મુદ્દે કોઇ દલીલ કરી શકે નહીં. રિ-સરવે વિના આઇન્ડન્ટિફાઇ કરેલાં 844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ? મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર કે તેના અધિકારીઓ કોર્ટ સમક્ષ કેઝ્યુઅલ સ્ટેટમેન્ટ્સ આપી શકે નહીં. 844 વેન્ડર્સને તમે આઇડેન્ટિફાઇ કર્યા બાદ કોઇ રિસરવે કે ફ્રેશ પ્રોસેસ વિના 2025માં ભદ્રથી કેમ ખસેડ્યા ? વેન્ડર્સે જે-તે સમયે તમને સહકાર આપ્યો, તમે તેને એક મીટર દૂર પણ હટાવી શકો નહીભદ્ર ખાતે હવે પરિસ્થિતિ બદલાઇ હોવાની કોર્પોરેશનની દલીલને હાઇકોર્ટે ધરાર ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું અને ટકોર કરી હતી કે AMC એ વર્ષ 2025માં વેન્ડર્સને હટાવ્યા છે. હવે AMC કહે છે કે ભદ્ર વિસ્તારની પરિસ્થિતિ બદલાઇ છે. પરંતુ AMC ના કેસ એવો નથી કે વર્ષ 2019થી વેન્ડર્સ અહીં કામ નથી કરી રહ્યા. AMCના પ્લાનમાં કહ્યું હતું કે, 844 વેન્ડર્સને અહીં જગ્યા ફાળવાશે. વેન્ડર્સે જે-તે સમયે તમને સહકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ, તમે એ પછી કોઇ રિ-સર્વે કર્યો નથી અને તેમને દૂર કર્યા છે. જો આ વાસ્તવિક સ્થિતિ હોય તો તમે વેન્ડર્સને એક મીટર દૂર પણ હટાવી શકો નહી. રિસર્વે કરો અને તેમને રિલોકેટ કરવા અંગે નિર્ણય લોAMC તરફથી દલીલ થઈ હતી કે જો ભદ્ર વિસ્તારમાં આજની તારીખે 844 વેન્ડર્સને જગ્યા આપીશું તો આખોય વિસ્તાર થંભી જશે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે. પરિસ્થિતિ બદલાઇ ગઇ હોઇ શકે, પરંતુ આ દલીલ કોઇ સરવે વિના કઇ રીતે કોર્ટ માની શકે. AMC કોઇને પણ રિ સરવે અને ફ્રેશ સરવે વિના ટચ કરી શકો નહીં. જો 844 વેન્ડર્સને જગ્યા ફાળવશો તો ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાશે, જો આ જ તમારો કેસ હોય તો ફ્રેશ પ્લાન બનાવો, રિસર્વે કરો અને તેમને રિલોકેટ કરવા અંગે નિર્ણય લો. જોકે હાઇકોર્ટને તમે જે જગ્યા દર્શાવી છે, ત્યાં અમે બધાને નહીં, પરંતુ 844 વેન્ડર્સને પરત લાવો અને જો તમે આ મામલે ગંભીર હોય તો રિ સરવે કરો. હાઇકોર્ટે કોર્પોરેશનને તાકીદ કરી હતી કે, આ પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો. ત્યારે કોર્પોરેશને ચાર-પાંચ દિવસની મહેલત આપવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન શક્ય હોય તો વેન્ડર્સને કઇ રીતે રિલોકેટ કરી શકે એની ચકાસણી કરવા સમય આપો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જો તમે શક્યતા ચકાસી રહ્યા હોવ તો તમે કોર્ટ સ્પષ્ટ કરી રહી છે કે તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં આવી શકો.
સુરત કમિશનરની સરપ્રાઈઝ ચેકીંગ:શહેરભરમાં 'ઇન્ટિગ્રેટેડ ક્લિનલિનેસ ડ્રાઈવ' 1475 સ્થળોએ જનજાગૃતિ અભિયાન
સુરત શહેરને સ્વચ્છતામાં દેશભરમાં મોખરે રાખવાના ઉમદા આશય સાથે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા 'ઇન્ટિગ્રેટેડ ક્લીનલિનેસ ડ્રાઈવ' હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વચ્છતાના માપદંડોને વધુ કડક બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. 'પે એન્ડ યુઝ' ટોયલેટમાં સ્વચ્છતાના ઉચ્ચતમ માપદંડો જાળવવા આદેશ આપ્યોઆજે કમિશનર નાગરાજને વેસ્ટ ઝોનમાં આવેલા પાલ લેક ગાર્ડન સ્થિત પબ્લિક ટોયલેટની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સાફ-સફાઈની કામગીરી સંતોષકારક જણાતા તેમણે કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી, પરંતુ સ્વચ્છતાના સ્તરને આગામી લેવલ પર લઈ જવા માટે મહત્વના સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માત્ર સફાઈ પૂરતી નથી પરંતુ, શૌચાલયના ફ્લોર પર પાણી જમા ન રહે તે માટે ફ્લોર મશીનનો ઉપયોગ કરી તેને હંમેશા 'ડ્રાય' રાખવા જોઈએ. આ ઉપરાંત શહેરના તમામ 'પે એન્ડ યુઝ' ટોયલેટમાં સ્વચ્છતાના ઉચ્ચતમ માપદંડો જાળવવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ, વેસ્ટ ઝોનની રાજહંસ રેસિડેન્શિયલ સોસાયટીની મુલાકાત દરમિયાન તેમણે જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચના આપી હતી કે દરેક ઝોનમાં રહેણાંક સોસાયટીઓમાં સફાઈ અભિયાન હાથ ધરતા પહેલા, આગલા દિવસે સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી કે પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવી જોઈએ. પૂર્વ આયોજન સાથે IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિ ફેલાવી નાગરિકોને આ અભિયાનમાં જોડવા જોઈએ. શહેરભરમાંથી કુલ 241 મેટ્રિક ટન જેટલા વધારાના ઘનકચરાનો નિકાલઆ અભિયાન અંતર્ગત ગત તા. 02-02-2026થી 11-02-2026 દરમિયાન શહેરના ખૂણેખૂણામાં હેલ્થ અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. જેમાં ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, નદી-નાળા, મુખ્ય માર્ગો, એન્ટ્રી પોઈન્ટ્સ, ગાર્ડન, ખુલ્લા પ્લોટ અને બ્રિજ નીચેના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ ખાસ ઝુંબેશ દરમિયાન શહેરભરમાંથી કુલ 241 મેટ્રિક ટન જેટલા વધારાના ઘનકચરાનો નિકાલ કરવામાં આવ્યો છે તેમ જ રહેણાંક, કોમર્શિયલ અને શૈક્ષણિક સંસ્થાઓના કુલ 1475 જેટલા સ્થળોએ પ્રચાર-પ્રસાર કરી કચરાના વર્ગીકરણ અંગે સમજ આપવામાં આવી છે. અને આ કામગીરીમાં વિવિધ NGO, વોલેન્ટીયર્સ, વેપારી એસોસિએશનો અને શૈક્ષણિક સંસ્થાઓની ટીમો જોડાઈ છે. સફાઈની સાથે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓના પેચવર્ક અને મરામતની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
મહેસાણાના લાંઘણજમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ માટે ગયેલો ચાઈલ્ડ હેવન સંસ્થાનો 15 વર્ષીય કિશોર શાળા છૂટવાના સમયે ગુમ થતાં ચકચાર મચી ગઈ છે. સંસ્થાના અધિક્ષકે આ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, કોઈ અજાણ્યો શખ્સ સગીર વયના બાળકનું અપહરણ કરી ગયું હોવાની શક્યતા છે. સંસ્થાના સ્ટાફ અને ડ્રાઈવરે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતીમેઉ મુકામે આવેલી 'ચાઈલ્ડ હેવન સંસ્થા'માં છેલ્લા દોઢ વર્ષથી રહીને અભ્યાસ કરતો પ્રિયંશ ભરતભાઈ પટેલ (ઉ.વ. 15) 9 ફેબ્રુઆરીના રોજ સવારે નિયમ મુજબ સંસ્થાની ગાડીમાં લાંઘણજ સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ માટે ગયો હતો. સાંજે સાડા ચાર વાગ્યે જ્યારે સંસ્થાની ગાડી સ્ટાફ સાથે તેને લેવા માટે શાળાએ પહોંચી ત્યારે પ્રિયંશ ત્યાં હાજર મળી આવ્યો ન હતો. આ ઘટનાની જાણ થતા સંસ્થાના સ્ટાફ અને ડ્રાઈવરે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ, પ્રિયંશનો કોઈ પતો લાગ્યો ન હતો. સંસ્થાના અધિક્ષક પન્નાલાલ ડામોરે તેના પિતા અને સગા-સંબંધીઓ તેમજ મેઉ લાંઘણજ અને ઊંઝાના આસપાસના વિસ્તારોમાં બે દિવસ સુધી સઘન શોધખોળ કરી હતી. અંતે કિશોર મળી ન આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કિશોરનું કોઈએ અપહરણ કર્યું હોવાની શંકા સાથે પોલીસે ગુનો નોંધ્યોગુમ થનાર પ્રિયંશ શરીરે પાતળા બાંધાનો અને ગૌવર્ણનો છે. તેણે સફેદ શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે.તે ગુજરાતી ભાષા જાણે છે. કાયદેસર રીતે સંસ્થાના વાલીપણા હેઠળ રહેતા આ કિશોરનું કોઈએ અપહરણ કર્યું હોવાની શંકા સાથે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં સંસ્થા કે વાલી દ્વારા કોઈ પણ વ્યક્તિ પર શંકા વ્યક્ત કરવામાં આવી નથી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટમાં વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી હતી. ગઈકાલે જાહેર કરવામાં આવેલી આ યોજનાનો આજથી જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરના નાગરિકો માટે મિલ્કત વેરા અને પાણી વેરા પર વ્યાજ માફીની વિશેષ યોજના આજથી અમલમાં મૂકવામાં આવી છે. મેયર નયનાબેન પેઢડીયાનાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ રહેણાંક અને બિન-રહેણાંક મિલ્કતધારકોને પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 5,000 અને પાણી વેરાના વ્યાજમાં 5,000 મળી કુલ 10,000 સુધીની વ્યાજ રાહત આપવામાં આવશે. વ્યાજ માફી યોજના 11/02/2026 થી શરૂ થઈ છે જે 31/03/2026 સુધી જ અમલમાં રહેશે. મિલ્કતધારકોને બાકી કરની રકમ સમયસર ભરીને આ આર્થિક રાહતનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. નાગરિકો પોતાના ઝોન અથવા વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને યોજનાનો લાભ લઈ શકશે. રાજકોટનાં બીગબજાર અને અમીન માર્ગ ખાતે નવા ફૂટઓવરબ્રીજ બનશેરાજકોટ શહેરમાં અનેક મુખ્યમાર્ગો ઉપર ડિવાઇડરના કારણે રોડ વચ્ચે ગેબ ઓછા આપવામાં આવ્યા છે. જેના લીધે પગપાળા જતા શહેરીજનોએ ના છૂટકે સર્કલ ફરીને પોતાના સ્થાને પહોંચ્વુ પડે છે. જેના નિરાકરણ માટે શહેરમાં આ પ્રકારના 150 ફૂટ રીંગરોડ તેમજ અન્ય રાજમાર્ગો પર ફૂટઓવરબ્રિજ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ્રારંભીક ધોરણે બે બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. 150 ફૂટ રીંગરોડ ઉપર બીગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર ઉપર રૂ.12 કરોડના ખર્ચે પીપીપી ધોરણે ફૂટઓવરબ્રિજ તૈયાર કરી એજન્સીને 5 વર્ષ માટે મેન્ટેનન્સ સહિતની જવાબદારી સાથે સોંપવામાં આવશે. બીગબજાર સર્કલ ખાતે 1 ફૂટ ઓવર બ્રિજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તેવી જ રીતે અમીન માર્ગ તરફથી આવતા શહેરીજનોને કાલાવડ રોડ તરફ જવા માટે બીગબજાર સર્કલ થઇને ફરવુ પડતુ હોય અમીન માર્ગ રોડના કોર્નર ઉપર એક ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. સેન્ટ્રલ ઝોનમાં 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં યુવા અનસ્ટોપેબલ ફાઉન્ડેશન અને દાતા પ્રદીપભાઈ ધામેચાના સહયોગથી 10 આંગણવાડી કેન્દ્રોને ‘સ્માર્ટ આંગણવાડી’ તરીકે વિકસાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટ હેઠળ ભોલેનાથ-4, માનસતા ચોક, હસનવાડી-4, આશાપુરા-1, મનહરપુરા-1, કીટીપરા-1, રૂખડીયા સ્મશાન પાછળ, નરસિંહભગત બાલવાડી, રેલનો ધક્કો અને પોલીસ હેડક્વાર્ટર્સ ખાતેની આંગણવાડીઓનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને મનોરંજનનું સુંદર સંયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે આ સુવિધાયુક્ત કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની પ્રશંસા કરી હતી. સ્માર્ટ આંગણવાડીઓમાં ‘બાલા પેઇન્ટિંગ’, ટીવી, શૈક્ષણિક રમકડાં તેમજ હીંચકા, લપસણી અને જમ્પિંગ સાધનો જેવી આઉટડોર ગેમ્સની સુવિધા ઊભી કરાઈ છે. સુરક્ષા માટે ખાસ ફ્લોરિંગ અને ફર્નિચરનું કામ પણ કરવામાં આવ્યું છે. પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ અને બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશીએ જણાવ્યું કે, આ આંગણવાડીઓ ખાનગી સ્કૂલોને ટક્કર આપે તેવી ગુણવત્તાસભર બની છે, જે બાળકોના શૈક્ષણિક અને માનસિક વિકાસમાં પાયાનું યોગદાન આપશે. આગામી 18 ફેબ્રુઆરીએ મનપાનું જનરલ બોર્ડ, બજેટ મંજુર કરવામાં આવશેમહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ગઇકાલે ડ્રાફટ બજેટમાં સુચવવામાં આવેલ તમામ કરબોજ રદ કરી વધારાની નવી 23 યોજનાઓ સાથે 9 કરોડના કદ વધારા સાથેનુ 3604.90 કરોડનુ બજેટ સર્વાનુ મતે મંજૂર કરવામાં આવ્યુ હતુ અને હવે ઠરાવ તૈયાર કરી 11 દરખાસ્તા સાથે આગામી 18 ફેબ્રુઆરીને બુધવારના રોજ જનરલ બોર્ડમાં રજૂ કરી સર્વાનુ મતે મંજૂર કરવામાં આવશે. જેની અમલવારી 1 એપ્રિલથી શરૂ થશે. બજેટ બોર્ડ આગામી બુધવારના રોજ મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ બજેટનો એજન્ડા રજૂ કરશે. જેમાં 11 દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું રિવાઈઝડ બજેટ તેમજ નાણાકીય વર્ષ2026-27નું અંદાજપત્ર મંજુર કરવા અંગે, વર્ષ 2026-27 માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા અંગે, આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે પાણી દર નિયત કરવા અંગે, આગામી નાણર્ણાકીય વર્ષ 2026-27 માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે, આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા અંગે, વર્ષ 2026-27 માટે વાહન કર નિયત કરવા અંગે, આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે થિએટર ટેક્ષ નિયત કરવા અંગે, આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા અંગે, આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અંગે, નાણાકીય વર્ષ 2026-27 માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાંકીય વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની દરખાસ્ત રજૂ થશે. રાજકોટ મનપા દ્વારા ઇલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સના ઓપરેશન અને મેઇન્ટેનન્સ અંગે સેમિનાર યોજાયોરાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ અને (BCH) દ્વારા તાજેતરમાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ સેમિનારમાં વોટર વર્ક્સ, ડ્રેનેજ અને રોશની વિભાગના અંદાજીત 60 અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્કેટમાં આવતી નવી ઇલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સ અને તેના ટેકનિકલ પાસાથી સ્ટાફને માહિતગાર કરવાનો હતો. સેમિનાર દરમિયાન નિષ્ણાતો દ્વારા ACB, MCCB, કોન્ટેક્ટર, સ્ટાર્ટર અને મોટર્સ જેવા મહત્વના સાધનોના ઉપયોગ તેમજ તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સાધનોના લાંબા આયુષ્ય માટે જરૂરી મેઇન્ટેનન્સ અને રિપેરિંગની પદ્ધતિઓ પણ સમજાવવામાં આવી હતી.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2020માં નજીવી તકરારમાં યુવકની હત્યા કરનાર આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે. ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી કાયદા મુજબની સજા કરવી ન્યાયોચિત છે. 'હું અહીંયા જ બેસી રહીશ તું શું કરી લઇશ'શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ બહેરામપુરા ખાતે 45 વર્ષિય અકરમ સૈયદ પરિવાર સાથે રહેતા હતા. 14 જુલાઇ, 2020ના રોજ રાત્રે 10 વાગ્યે અકરમ પોતાના ઘર પાસે ઊભો હતો. ત્યારે ત્યાં સમીર કુરેશી આવ્યો હતો. જેથી અકરમે સમીરને કહ્યું હતું કે કેમ અહીંયા મોડી રાત્રી સુધી ઊભો છે. તેથી સમીર ગુસ્સે થયો હતો અને હું અહીંયા જ બેસી રહીશ તું શું કરી લઇશ. આટલું કહ્યા બાદ તેણે માથાકુટ કરી હતી અને છરી કાઢી અકરમ પર હુમલો કર્યો હતો. બે દિવસની સારવાર બાદ અકરમનું મોત થયુંજેથી ગંભીર હાલતમાં અકરમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ અકરમનું મોત થયું હતું. આ મામલે દાણીલીમડા પોલીસે આરોપી સમીર સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપી સામે ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારીસરકારી વકીલે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે મૃતકે જાતે હોસ્પિટલમાં ફરિયાદ આપી હતી. આરોપીનો ગુનામાં સક્રિય રોલ હોવાના પૂરતા પુરાવા છે, આરોપીએ નજીવી તકરારમાં યુવકની હત્યા કરી છે. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. બીજી તરફ આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો. આ પ્રસંગે યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત હજારો ભક્તોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. શારદાનગર ગામ નજીક આવેલા જૂના વનાળીયા ગામના પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવના મુખ્ય યજમાન જયેશભાઈ ગોપાલભાઈ વિલપરા હતા. સહ-યજમાનોમાં દશરથભાઈ ગોપાલભાઈ વિલપરા, શૈલેષભાઈ રતિલાલભાઈ વિલપરા, બળદેવભાઈ ચુનીલાલ વિલપરા, જીગ્નેશભાઈ રતિલાલભાઈ વિલપરા, સંજયભાઈ નારણભાઈ વિલપરા અને ધર્મેન્દ્રભાઈ નારણભાઈ વિલપરાનો સમાવેશ થાય છે. યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા કરાવવામાં આવી હતી. મહોત્સવ અંતર્ગત બુધવારે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભા બાદ બપોરે 12:00 કલાકે મહાઆરતી યોજાઈ હતી. ત્યારબાદ અંદાજે 4 હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
માળિયા (મી)ના મોટાભેલા ગામે નોળિયા કરડવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વાડામાં કામ કરી રહેલા એક યુવાનને નોળિયાએ સાથળના ભાગે બચકું ભર્યું હતું. આ ઘટના બાદ યુવાનને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોટાભેલા ગામના અલ્પેશભાઈ કેશવજીભાઈ કલોલા બુધવારે સાંજે તેમના વાડામાં ડીઝલ નાખવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે કાંટાની વાડમાંથી આવેલા નોળિયાએ તેમને સાથળના ભાગે કરડ્યો હતો. નોળિયાની પકડ છોડાવવા માટે લાતો માર્યા બાદ તેણે યુવાનનો પગ છોડ્યો હતો. અલ્પેશભાઈને મોરબી સિવિલમાં જરૂરી રસી આપીને સારવાર કરાયા બાદ તેઓ હાલ પોતાના ઘરે પરત ફર્યા છે. નોળિયા કરડવાનો આ છ મહિનામાં ચોથો બનાવ છે. અગાઉના ત્રણ બનાવો પૈકી એકમાં 71 વર્ષીય જશુબેન રેવાભાઈ ખીટનું મોત નીપજ્યું હતું. તેમને છ મહિના પહેલા નોળિયાએ કરડ્યો હતો, જેની અસરથી થોડા દિવસો પહેલા મોરબી સિવિલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ગામમાં નોળિયા કરડવાના વારંવાર બનતા બનાવોને કારણે ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં કથળતી જતી ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર માર્ગો પર વધતા જતા દબાણો સામે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે પોલીસની નિષ્ક્રિયતા સામે બાયો ચડાવી શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને જણાવાયું છે કે, શહેરના મુખ્ય સર્કલો જેવા કે ચ-3, ધ-3, ધ-5, ધ-6, ગ-2 અને ગ-3 સર્કલ પર અનેક ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે. સર્કલની આસપાસ શટલિયા રિક્ષા, લારીગલ્લા અને આડેધડ પાર્કિંગના કારણે સવારે કચેરી અને શાળાના સમયે તેમજ સાંજે ભારે ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. બીજી તરફ શહેરમાં વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે. જેમાં માટી અને કપચી ભરેલા ભારે વાહનો ગતિમર્યાદાના નિયમો નેવે મૂકીને બેફામ દોડી રહ્યા છે. શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં મોડી રાત્રે અને વહેલી સવારે આ વાહનો બેરોકટોક પ્રવેશતા હોવાથી અકસ્માતનો ભય વધી રહ્યો છે. આડેધડ પાર્કિંગ સામાન્ય વાહનવ્યવહાર માટે અવરોધરૂપવધુમાં તેમણે ઉમેર્યું છે કે, શહેરના હાર્દ સમાન સેક્ટર-11, પથિકાશ્રમ ડેપો અને મુખ્ય સર્કલોની આસપાસ શટલિયા રિક્ષાઓ અને લારીગલ્લાઓના દબાણને કારણે રસ્તાઓ સાંકડા બની ગયા છે.સવારસાંજ કચેરી અને શાળાઓના સમયે સર્જાતા ટ્રાફિક જામને કારણે વાહનચાલકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. ખાસ કરીને ધ-5થી ચ-5 સુધીના માર્ગ પર થતું આડેધડ પાર્કિંગ સામાન્ય વાહનવ્યવહાર માટે અવરોધરૂપ સાબિત થઈ રહ્યું છે. મહાસંઘે માંગ કરી છે કે જો પોલીસ તંત્ર દ્વારા સત્વરે આ દબાણો દૂર કરવામાં નહીં આવે અને ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ શકે છે. ત્યારે વસાહત મહાસંઘની આ રજૂઆતે હવે પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પાટડી તાલુકાના જરવલા ગામની સીમમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લોબાસર તલાવડી તરફ જતા રસ્તા પરથી એક ટ્રેક્ટર-ટ્રોલીમાંથી કુલ ₹9,13,076 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટરને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સંગ્રહ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા. આ સૂચનાના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટર, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, જરવલા ગામની સીમમાં લોબાસર તલાવડી તરફ જતા રસ્તા પર એક પડતર જગ્યામાંથી ટ્રેક્ટરની ટ્રોલીમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂમાં 1616 બોટલ પ્લાસ્ટિક અને કાચની નાની-મોટી બોટલો (કિંમત ₹3,13,636) અને 452 બીયર ટીન (કિંમત ₹99,440) નો સમાવેશ થાય છે. આમ, કુલ ₹4,13,076 નો ગેરકાયદેસર વિદેશી દારૂ અને ₹5,00,000 ની કિંમતનું ટ્રેક્ટર-ટ્રોલી મળી કુલ ₹9,13,076 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હર્ષદભાઈ ઉર્ફે હસો નાનુભાઈ ઠાકોર (રહે. જરવલા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) અને ટ્રેક્ટરનો ચાલક કે માલિક ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ. દશરથભાઈ ઘાંઘર, પો.કોન્સ. સંજયભાઈ પાઠક અને પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સુરત મનપાની દબાણ શાખા એક્શન મોડમાં:ભટારમાંથી 4 ટ્રક ભરી સામાન જપ્ત, લારી-ગલ્લાવાળાઓમાં ભારે ફફડાટ
સુરત મહાનગરપાલિકાનું દબાણ વિભાગ અત્યારે ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા ભટાર વિસ્તારમાં આજે પાલિકાની ટીમે અચાનક ત્રાટકીને રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પાલિકાએ કુલ 4 ટ્રક ભરીને ગેરકાયદે સામાન જપ્ત કરતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી હતી. ટ્રાફિક અને એમ્બ્યુલન્સ માટે માથાનો દુખાવોભટાર ચાર રસ્તાથી બ્રેડલાઈનર સર્કલ સુધીનો માર્ગ શહેરનો અત્યંત મહત્વનો રોડ ગણાય છે. છેલ્લા ઘણા સમયથી અહીં શાકભાજીની લારીઓ, ગેરકાયદે કેબિનો અને પાથરણાવાળાઓએ રોડની બંને બાજુ કબ્જો જમાવી લીધો હતો. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ ટ્રાફિક જામમાં ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હતી, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હતા. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે પાલિકાના દબાણ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે તાત્કાલિક રોડ ખાલી કરાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોર્પોરેટરની કડક સૂચનાઆ કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટર હિમાંશુ રાઉલજી પણ હાજર રહ્યા હતા. તેમણે દબાણકર્તાઓને કડક ભાષામાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, પાલિકા કોઈની રોજીરોટી છીનવવા માંગતી નથી, પરંતુ રસ્તાઓ રોકીને જનતાને મુશ્કેલીમાં મૂકવી તે જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તમે ધંધો કરો, પણ એવી રીતે કરો કે જેથી વાહનચાલકો કે સામાન્ય લોકોને અડચણ ન પડે. 4 ટ્રક જેટલો સામાન જપ્તપાલિકાની ટીમે ચારે બાજુએથી દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. જે લારી ધારકો રોડ પર અડચણરૂપ હતા, તેમના સામાન સહિત લારીઓ જપ્ત કરવામાં આવી હતી. કુલ 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરી પાલિકાની કચેરીએ ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગાંધીનગરનો ઇન્દ્રોડા રોડ રક્તરંજિત:બે બાઈક સામસામે અથડાતા યુવકનું કરુણ મોત, બેની હાલત ગંભીર
રાજ્યના પાટનગરમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. આજે મોડી સાંજે ગાંધીનગરના જાણીતા પ્રવાસન સ્થળ સરિતા ઉદ્યાન નજીક ઇન્દ્રોડા રોડ પર બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને માર્ગ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમળતી માહિતી મુજબ, મોડી સાંજે ઇન્દ્રોડા રોડ પરથી પસાર થતા બે બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. 108 ઇમરજન્સી સેવાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં વિજય કનુભાઈ ચાવડા નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર સવાર જગદીશ ભૂપતભાઈ ડાભી અને એક મહિલાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, એક ગંભીર ઇજાગ્રસ્તહોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, જગદીશભાઈની હાલત અત્યંત નાજુક છે અને તેઓ અત્યારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે ઇન્દ્રોડાથી સરિતા ઉદ્યાન તરફ જતો આ માર્ગ વાહનચાલકો માટે જોખમી બની રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડ પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાતા રહે છે. ભૂતકાળમાં પણ અનેક જીવલેણ દુર્ઘટનાઓ અહીં બની ચૂકી છે. આ માર્ગ પર વાહનોની ગતિને અંકુશમાં લેવા માટે સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી રહીશો દ્વારા વારંવાર કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આજે ફરી એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરીબનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બંને બાઈક કોણ ચલાવતું હતું અને અકસ્માત પાછળ કોની બેદરકારી જવાબદાર છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહ પરિવાર સાથે દર્શનાર્થે પધાર્યા હતા. તેમણે હનુમાનજી દાદાના દરબારમાં શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી. જય શાહે પોતાના સુપુત્રની પેંડા અને સુખડીથી તુલા કરી હતી. આ ઉપરાંત, તેમણે દાદાને ધજા અર્પણ કરીને ભાવભીની પ્રાર્થના કરી હતી. મંદિર ખાતે સંતો દ્વારા જય શાહ અને તેમના પરિવારનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. હનુમાનજી મંદિરના સંતોએ રાષ્ટ્ર અને રમતજગતની સતત પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી આશીર્વચન આપ્યા હતા.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પીપળી ગામે મૂળ તારાપુરના વતની અને અમેરિકા સ્થિત ઉદ્યોગપતિ ડૉ. પ્રવીણ એચ. પટેલે રૂ. 2.75 કરોડના ખર્ચે અદ્યતન સરકારી પ્રાથમિક શાળા ભવનનું નિર્માણ કરાવ્યું છે. આ શાળા તેમણે પોતાની માતા તારાબા અને માસી શારદાબાના નામે ભેટ આપી છે. બુધવારે આ શાળાના લોકાર્પણનો સમારોહ યોજાયો હતો. આ ભવન 7,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં એ જ સ્થળે ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં તેમની માતા અને માસીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં દુબઈથી શેખ મક્તૂમ બિન સુહૈલ અલ મક્તૂમના પ્રાઈવેટ એડવાઈઝર મિસ્ટર ઓમર અલ મરઝૂકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, ભાજપના જિલ્લા પ્રમુખ સંજય પટેલ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકીએ પણ શાળાની મુલાકાત લઈ આ કાર્યની પ્રશંસા કરી હતી. માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં નિર્મિત આ અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળા સરકારને સોંપવામાં આવશે. શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ્સ, CCTV સુરક્ષા વ્યવસ્થા, સુસજ્જ ઓફિસ, શિક્ષક રૂમ અને વિશાળ આધુનિક વર્ગખંડો જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સેવાકાર્યથી પીપળી ગામ સહિત સમગ્ર પંથકમાં શિક્ષણના સ્તરમાં સુધારો થવાની અપેક્ષા છે. ગ્રામજનો માને છે કે આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણનો મજબૂત આધાર મળશે.
આણંદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ એ.આઈ. (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલ રાજ્યના 18,500થી વધુ ગામડાઓમાં 36 લાખ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા અમૂલ દ્વારા ડેરી ક્ષેત્રને ટેકનોલોજીથી સક્ષમ બનાવવા માટે કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અન્ન નાગરિક પૂરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ તેમજ ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના અધ્યક્ષ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ છેલ્લા 11 વર્ષમાં દેશની આર્થિક વિકાસયાત્રામાં ટેકનોલોજીનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમણે ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની સફળતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, આજે ભારત યુ.પી.આઈ. ટ્રાન્ઝેક્શનમાં અગ્રેસર છે અને નાનામાં નાના વેપારીઓ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આણંદની ભૂમિ શ્વેતક્રાંતિના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલ અને ડો. કુરિયન બંનેની કર્મભૂમિ રહી છે. તેમણે અમૂલ દ્વારા લોન્ચ કરાયેલી નવી 'સરલા' (Sarala) એપને એક મોટી ક્રાંતિ ગણાવી હતી. આ એપ વિશ્વમાં પ્રથમવાર દૂધના ફેટ, SNF અને દૈનિક હિસાબ મોબાઈલ પર ઉપલબ્ધ કરાવે છે.કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીમોટ દ્વારા 'અમૂલ એઆઈ' ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ અમૂલ AI પરની ટૂંકી ફિલ્મ નિહાળી હતી. અમૂલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમૂલના ચેરમેને સ્વાગત પ્રવચન આપી અમૂલ AI વિશે જાણકારી આપી હતી, જ્યારે મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. અમૂલ AI એપ બનાવનાર ડો. શંકરે એપ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે રાજ્યના 33 જિલ્લામાંથી આવેલી મહિલા પશુપાલકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરેલી વિશાળ રાખડી મુખ્યમંત્રીને સુપ્રત કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસના નેત્રમ પ્રોજેક્ટ અને તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ બે ખોવાયેલી બેગ શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. પ્રથમ ઘટનામાં, ધ્રાંગધ્રાના ભારદ ગામના ભાવનાબેન છગનભાઈ ચાવડા 11 ફેબ્રુઆરી, 2026ના રોજ વઢવાણ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી સુરેન્દ્રનગરની શિવ હોટેલ ખાતે ઉતર્યા હતા. તેઓ પોતાની બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા, જેમાં અગત્યના દસ્તાવેજો, એટીએમ કાર્ડ અને રૂ. 2,000 રોકડા હતા. નેત્રમ ખાતે જાણ કરાતા, સીસીટીવી ફૂટેજની મદદથી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-AV-5332 ઓળખી કાઢવામાં આવ્યો. ત્યારબાદ રિક્ષાચાલકનો સંપર્ક કરીને ભાવનાબેનને તેમની બેગ તમામ કિંમતી સામાન સાથે પરત કરવામાં આવી. બીજી ઘટનામાં, મોરબીના મોહનભાઈ બહાદુરભાઈ લીંબડીયા 10 ફેબ્રુઆરી, 2026ના રોજ લગ્ન પ્રસંગમાં મોરબીથી સુરેન્દ્રનગર આવ્યા હતા. જવાહર ચોકથી પતરાવાળી વચ્ચેના રસ્તા પર તેમની નવા કપડાં ભરેલી બેગ પડી ગઈ હતી. આ અંગે નેત્રમને જાણ થતા, સીસીટીવી કેમેરાની મદદથી મોહનભાઈના રૂટ પર તપાસ કરવામાં આવી. બેગ લેનાર રિક્ષાચાલકને શોધી તેનો સંપર્ક કરીને મોહનભાઈને પણ તેમની બેગ સફળતાપૂર્વક પરત મળી. ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. પરમારની સૂચનાથી નેત્રમ સુરેન્દ્રનગરની ટીમે આ બંને કિસ્સાઓમાં સીસીટીવીની મદદથી ઝડપી કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે. આ અભિયાન અંતર્ગત ખોવાયેલી કિંમતી વસ્તુઓ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવે છે.
રાજકોટ શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક જૂથબંધી હવે સત્તાવાર રીતે શિસ્તભંગની નોટિસ સુધી પહોંચી છે. પક્ષના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો સીટ આવશે તેવી ભવિષ્યવાણી અને પક્ષના નેતૃત્વ પર કરેલા આકરા પ્રહારો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) હરકતમાં આવી છે. પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલ દ્વારા પ્રવીણ સોરાણીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં તેમની સામે શિસ્તભંગના પગલાં કેમ ન લેવા તે અંગે 7 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો છે. ઇન્દ્રનીલ રાજગુરુ ઉપર પક્ષને ખાનગી પેઢી તરીકે ચલાવવાનો આરોપપ્રવીણ સોરાણી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા પક્ષની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમણે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને કદાવર નેતા ઇન્દ્રનીલ રાજગુરુ ઉપર પક્ષને ખાનગી પેઢી તરીકે ચલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ જશે. કોંગ્રેસ પક્ષે નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો માગ્યોપ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલી નોટિસમાં જણાવાયું છે કે, “આપ કોંગ્રેસના કાર્યકર હોવા છતાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા, અખબાર અને જાહેર સંવાદો દ્વારા પક્ષને નુકસાન થાય તેવા અવારનવાર નિવેદનો કરો છો. જેનાથી પક્ષની છબી ખરડાય છે અને સમાજમાં પક્ષ માટે ખોટી છાપ ઉભી થાય છે. આપના દ્વારા આ રીતનું વર્તન કરવામાં આવે તે અસહ્ય છે અને શિસ્તભંગ છે. ત્યારે તમારી સામે શા માટે શિસ્તભંગનાં પગલાં ન લેવા તેનો 7 દિવસમાં ખુલાસો કરશો.” કોંગ્રેસને 0 (ઝીરો) સીટ મળશેવિવાદની શરૂઆત સોરાણીની એક ફેસબુક પોસ્ટથી થઈ હતી, જેમાં તેમણે લખ્યું હતું કે શહેર કોંગ્રેસ કાર્યાલય માત્ર અમુક નેતાઓના ઈશારે ચાલે છે અને ત્યાં પાયાના કાર્યકરોનું સન્માન જળવાતું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો શહેર પ્રમુખમાં સંગઠન ચલાવવાની ક્ષમતા ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. સૌથી વધુ ખળભળાટ તેમના મીડિયા સમક્ષ કરેલા એવા દાવાએ મચાવ્યો કે કોંગ્રેસને 0 (ઝીરો) સીટ મળશે. આ નિવેદનને પક્ષે ગંભીરતાથી લીધું છે કારણ તે સીધી રીતે કાર્યકરોના મનોબળ પર અસર કરે છે. પક્ષની છબી ખરડાય તેવા નિવેદન આપનાર સામે કાર્યવાહીશહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં રહીને સોશિયલ મીડિયા કે ચોથી જાગીર દ્વારા પક્ષની છબી ખરડાય તેવા નિવેદન આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત અમારા નેતા પ્રવીણ સોરાણીને પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હોય મને પણ તેની કોપી મળી છે. આ નોટિસમાં 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ અમારી શિસ્ત કમિટી દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કોંગ્રેસના બે જૂથો વચ્ચે આંતરિક જૂથબંધી અને પૈસાની ઉઘરાણીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર કોંગ્રેસના મહામંત્રી અવનીશ તિવારી પર ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે અને તેના 15 જેટલા સાગરીતોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. લોખંડના સળિયા અને ફટકા વડે તૂટી પડ્યાછેલ્લા ચાર દિવસથી અવનીશ તિવારી અને પ્રિન્સ પાંડે વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. અવનીશે પોતાના આપેલા પૈસા પરત માંગતા મામલો બિચક્યો હતો. આરોપ છે કે પ્રિન્સ પાંડેએ આ વિવાદમાં સમાધાન કરવાના બહાને અવનીશ તિવારીને બોલાવ્યા હતા. જ્યારે અવનીશ ત્યાં પહોંચ્યા ત્યારે પ્રિન્સ પાંડે અને તેના 15 જેટલા સાથીદારોએ લોખંડના સળિયા અને ફટકા વડે તૂટી પડ્યા હતા. મહામંત્રીને માથામાં 6 ટાંકા આવ્યાઆ હુમલામાં અવનીશ તિવારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે, જેમાં તેમને 6 ટાંકા આવ્યા છે. હાલ તેઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અવિનાશ તિવારીની ફરિયાદના આધારે પ્રિન્સ પાંડે અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જાહેરમાં થયેલી મારામારીને પગલે પક્ષની છબી ખરડાઈસુરત શહેરમાં રાજકીય આલમમાં ગરમાવો લાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં કોંગ્રેસના બે હોદ્દેદારો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે લોહિયાળ જંગ ખેલાયો છે. શહેર કોંગ્રેસના બે જવાબદાર હોદ્દેદારો વચ્ચે જાહેરમાં થયેલી આ મારામારીને પગલે પક્ષની છબી ખરડાઈ છે. સ્થાનિક રાજકારણમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. પક્ષ દ્વારા આ મામલે શિસ્તભંગના પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. માફી માંગવા જતા હુમલો કર્યોઅવનીશ તિવારીએ જણાવ્યું હતું કે, હું સુરત શહેર કોંગ્રેસનો મહામંત્રી છું. મારે પ્રિન્સ પાંડે સાથે પૈસાની લેતી-દેતીમાં ઝઘડો થયો હતો. કાલે અમારી વચ્ચે ગાળાગાળી થઈ હતી, જેના કારણે હું પૈસા લેવા માટે તેના ઘરે પણ ગયો હતો. આજે સવારે સુરત શહેર પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ મને ફોન કર્યો અને કહ્યું કે તમે તેમની પાસે જાઓ અને માફી માંગી લો. હું જ્યારે તેમની પાસે માફી માંગવા ગયો, ત્યારે ત્યાં અંદાજે 15 જેટલા લોકો હાજર હતા. તેઓએ ભેગા મળીને મારા પર સળિયા અને ફટકા વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ તો પહેલેથી જ હુમલો કરવાની તૈયારીમાં હતાહુમલો કરનારનું નામ પ્રિન્સ પાંડે છે, જે ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસનો વાઇસ પ્રેસિડેન્ટ (ઉપપ્રમુખ) છે. છેલ્લા ચાર દિવસથી આ પૈસાની લેતી-દેતીનો વિવાદ ચાલી રહ્યો હતો. મને અંદાજ નહોતો કે તેઓ મારા પર હુમલો કરશે. મને લાગ્યું કે તેઓ પૈસા આપી દેશે, પરંતુ તેઓ તો પહેલેથી જ હુમલો કરવાની તૈયારીમાં હતા.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં ₹17.70 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે કવાયત તેજ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત માટે સમય ફાળવવા વિનંતી કરી છે. આ કામોમાં નગરજનોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં રાખીને ₹17.70 કરોડના ખર્ચે નિર્મિત અટલ બિહારી વાજપેયી ટાઉન હોલનો સમાવેશ થાય છે. પાલિકા દ્વારા મુખ્યમંત્રી ટાઉન હોલના ખાતમુહૂર્ત વિધિમાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં પૂર્ણ થયેલા અન્ય પાંચ મહત્વના પ્રકલ્પોના લોકાર્પણ માટે પણ યાદી તૈયાર કરાઈ છે. તેમાં પાટણ આઈકોનિક બસ સ્ટેશન, નવ નિર્મિત દાનવીર શેઠ કિલાચંદ દેવચંદ ઓવરબ્રિજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નિર્મિત અનુસૂચિત જાતિ કુમાર અને કન્યા છાત્રાલય, મદદનીશ ચેરિટી કમિશનરની કચેરીનું ભવન અને જીબ્રા કલ્ચરનું પાવર સ્ટેશનનો સમાવેશ થાય છે. પાલિકા પ્રમુખે પત્રમાં જણાવ્યું છે કે આ તમામ કામો પ્રજાલક્ષી હોવાથી તેનું વહેલી તકે લોકાર્પણ થાય તે જરૂરી છે. આ પ્રોજેક્ટ્સ પાટણના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સ્વરૂપજી ઠાકોરને પણ રજૂઆત કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર હેરોઈનનું વેચાણ કરતા સંજય ઠાકોરની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે. પાલનપુર SOG દ્વારા આ કાર્યવાહી કરીને આરોપીને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર NDPS પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ, ડીસાના સિંધિ કોલોની પાછળ રહેતા 23 વર્ષીય સંજયભાઈ ભેમાજી ઠાકોર પર નજર રાખવામાં આવી હતી. અગાઉ જામીન પર છૂટ્યા બાદ પણ તેની નાર્કોટિક્સ પ્રવૃત્તિઓ ચાલુ હોવાની શંકાસ્પદ હિલચાલ ધ્યાને આવી હતી. આથી, તેની સામે 'ધ પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ, 1988' (PIT NDPS Act) ની કલમ-3(1) મુજબ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને અધિક પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ એન્ડ રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ચકાસીને મંજૂર કરવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ, PIT અટકાયતી સંજય ઠાકોરને મધ્યસ્થ જેલ, સુરત ખાતે કેદ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશના આધારે, તા. 10 ફેબ્રુઆરી, 2026 ના રોજ તેની અટકાયત કરીને સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
ગોધરામાં બાળકીએ મોદીના કાર્યો વર્ણવ્યા:ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં 'નવા ભારત'ની ગાથા રજૂ કરી
પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગોધરાના 'શ્રી કમલમ' કાર્યાલયે પહોંચ્યા હતા. આ દરમિયાન એક બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા બદલાવો અને 'નવા ભારત'ની ગાથા રજૂ કરતું વક્તવ્ય આપ્યું હતું. બાળકીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, મોદીજી, અગર આપ ન હોતે તો ક્યાં ક્યાં ના હોતા... જો તમે ન હોત તો સ્વચ્છ ભારત ના હોત, આપણું ભારત આજે ચંદ્ર પર ના હોત. જો તમે ન હોત તો 'મેક ઈન ઈન્ડિયા' અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પણ ના હોત. તેણે વધુમાં જણાવ્યું કે ઘણા લોકો તેને મોદીજીનો 'પ્રચાર' સમજે છે, પરંતુ વાસ્તવમાં આ એક 'વિચાર' છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો, તેમજ શસ્ત્ર, શાસ્ત્ર અને સનાતન સંસ્કૃતિને ગૌરવ અપાવવાનો આ વિચાર છે. બાળકીએ વડાપ્રધાન દ્વારા કરાયેલા કાર્યોની યાદી આપી હતી, જેમાં નવા એરપોર્ટ્સ અને આધુનિક હાઈવેનું નિર્માણ, મુદ્રા લોન દ્વારા યુવાનોને રોજગારી, ૧૦ કરોડ શૌચાલયોનું નિર્માણ, ૮૦ કરોડ લોકોને મફત રાશન, ખેડૂતોને સન્માન નિધિ અને આયુષ્માન કાર્ડ દ્વારા ૫ લાખની સહાય, તેમજ કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોકનું પુનઃનિર્માણનો સમાવેશ થાય છે. આ બાળકીના આત્મવિશ્વાસ અને દેશના વિકાસ પ્રત્યેની જાગૃતિ જોઈને પ્રદેશ અધ્યક્ષ સહિતના તમામ હોદ્દેદારો પ્રભાવિત થયા હતા. આ ઘટના દર્શાવે છે કે આજની પેઢી દેશના વિકાસ કાર્યોથી કેટલી વાકેફ છે.
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા ડિસેમ્બર 2025માં લેવાયેલી CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં સુરત શહેર અને વેસ્ટર્ન ઇન્ડિયા રિજન (WIRC) એ ભવ્ય સફળતા હાંસલ કરી છે. સમગ્ર ભારતના ટોપ-50 ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) માં એકલા સુરત શહેરના જ 18 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. CMA ઇન્ટરમીડિયેટના 14 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય યાદીમાંCMA ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં સુરત અને વેસ્ટર્ન રિજનના કુલ 14 વિદ્યાર્થીઓ ટોપ-50 AIR માં સ્થાન પામ્યા છે. સુરત શહેરના મુખ્ય રેન્ક હોલ્ડર્સની યાદી નીચે મુજબ છે. CMA ફાઇનલના 4 વિદ્યાર્થીઓ ટોપ-50માંફાઇનલ પરીક્ષામાં પણ સુરતનો દબદબો રહ્યો છે, જેમાં 4 વિદ્યાર્થીઓએ AIR ટોપ-50 માં સ્થાન મેળવ્યું છે. પરિણામની ટકાવારી અને આંકડાકીય વિગતCMA સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના ચેરમેન CMA કિશોર વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇન્ટરમાં કુલ 863 વિદ્યાર્થીઓમાંથી 155 વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે અને 133 વિદ્યાર્થીઓ સિંગલ ગ્રુપમાં પાસ થયા છે. આ પરીક્ષાનું પરિણામ 18 ટકા નોંધાયું છે. ફાઇનલમાં કુલ 199 વિદ્યાર્થીઓમાંથી 48 વિદ્યાર્થીઓ સંપૂર્ણ પાસ અને 19 વિદ્યાર્થીઓ સિંગલ ગ્રુપમાં પાસ થયા છે. ફાઇનલ પરીક્ષાનું પરિણામ 24 ટકા રહ્યું છે. વેસ્ટર્ન રિજનનું વર્ચસ્વWIRCના વાઇસ ચેરમેન CMA નેન્ટી શાહના જણાવ્યા અનુસાર, દેશના વેસ્ટર્ન રિજન (ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવા) એ રાષ્ટ્રીય સ્તરના ટોચના રેન્કમાં લગભગ એક તૃતીયાંશ (1/3) ભાગ મેળવ્યો છે. તેમણે ઉમેર્યું કે CMA સેક્ટર હવે સૌથી ઝડપી વિકસતું ક્ષેત્ર બની રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી રહી છે. સુરત સિટીમાંથી 14 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યોસીએમએ કિશોર વાઘેલા (ચેરમેન - સુરત ચેપ્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) એ જણાવ્યું હતું કે, આજ રોજ જ્યારે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇન્ટરમીડિએટ અને ફાઇનલ સ્ટેજનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરત સિટીમાંથી સુરત ચેપ્ટરના ઇન્ટર સ્ટેજમાં 14 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલ પર રેન્ક મેળવ્યો છે. જ્યારે ફાઇનલ સ્ટેજમાં 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલ પર રેન્ક હાંસલ કર્યો છે, જેના માટે સુરત ચેપ્ટર ગર્વની લાગણી અનુભવે છે. 133 વિદ્યાર્થીઓએ સિંગલ ગ્રુપ પાસ કર્યુંઇન્ટર સ્ટેજ લેવલે જોવા જઈએ તો, 14 વિદ્યાર્થીઓ એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાના કુલ રેન્કર્સની સંખ્યા જો શહેર સાથે સરખાવવામાં આવે, તો સુરત સિટી ઇન્ટર સ્ટેજમાં સૌથી વધુ રેન્કર્સ આપનારું ત્રીજું શહેર બન્યું છે. સુરત શહેરમાંથી 863 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 155 વિદ્યાર્થીઓએ પૂરેપૂરું પરિણામ મેળવ્યું છે અને 133 વિદ્યાર્થીઓએ સિંગલ ગ્રુપ પાસ કર્યું છે. ફાઇનલ સ્ટેજની વાત કરીએ તો, 199 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાં 48 વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે પાસ થયા છે અને 19 વિદ્યાર્થીઓએ સિંગલ ગ્રુપ પાસ કર્યું છે. હાર્ડ વર્ક અને 100% એફર્ટ્સ આપો એ મેટર કરે છેફાઇનલમાં ઓલ ઈન્ડિયામાં 5મો રેન્ક મેળવનાર દેશના જૈને જણાવ્યું હતું કે, મારો ઓલ ઈન્ડિયા રેન્ક 5 આવ્યો છે. અને સ્ટડી માટે તો બસ કન્સીસ્ટન્સી મેટર કરે છે. એકદમ કન્સીસ્ટન્ટલી રોજ કંટીન્યુ બસ ભણતા રહો તો થઈ જશે. શરૂઆતમાં 5 થી 6 કલાક, પછી 10 થી 11 કલાક. પોતાની તરફથી 100% એફર્ટ્સ આપવાના હોય છે. અને થોડું ઘણું હરવા-ફરવાનું સેક્રિફાઈસ કરવું પડી શકે છે. બાકી બસ હાર્ડ વર્ક અને 100% એફર્ટ્સ આપો એ મેટર કરે છે. આગળ તો હવે મારે મારા પોતાના બિઝનેસ સ્ટાર્ટઅપની આંત્રપ્રિન્યોર બનવું છે. એટલે કે મારે બિઝનેસ કરવો છે. અહીં સુધી પહોંચવા માટે મારા ફેમિલી, ફ્રેન્ડ્સ, કલીગ્સ અને ખાસ કરીને ફેકલ્ટી મેમ્બર્સ જેમણે બહુ સારી રીતે ભણાવ્યું. બેઝિક અને ફંડામેન્ટલ ક્લિયર હશે તો ટફ પેફર ટેકલ કરી શકશોઇન્ટરમાં ઓલ ઇન્ડિયામાં 5મો રેન્ક મેળવનાર દીપ ગજેરાએ જણાવ્યું હતું કે, ઇન્ટરમીડિએટ ઓલ ઇન્ડિયા રેન્ક 5 સાથે પાસ કર્યું છે. સૌથી પહેલા તો મેં એ ક્લિયર કરવા માંગુ છું કે રેન્કનો મતલબ એવો નથી કે તમે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલા હોવા જોઈએ. મારા માટે કોઈ મીડિયમ મેટર કરતું જ નથી. જો તમારા બેઝિક અને ફંડામેન્ટલ પહેલેથી જ ક્લિયર હશે તો ગમે તેટલું ટફ પેપર આવશે તો પણ તમે આસાનીથી તેને ટેકલ કરી શકશો. અમારું ફ્રેન્ડ સર્કલ હતું એક લાઈબ્રેરીમાં. ઘરે મારાથી નહોતું વંચાતું તો અમે લાઈબ્રેરી જતા. દરરોજ પ્લાનિંગ બનાવતા અને એકબીજાનું ફોલોઅપ લેતાઅમે ત્રણથી ચાર ફ્રેન્ડ હતા જે દરરોજ પ્લાનિંગ બનાવી લેતા કે દરરોજનું કેટલું કરવાનું છે અને પછી એકબીજાનું ફોલોઅપ લેતા કે જો નહીં થયું હોય તો ક્યાં તેને વાંધો આવે છે, સૌથી પહેલા તો તમારા ફોનને સૌથી પહેલા સેક્રિફાઈસ કરો. જ્યારે વાંચવા બેસો ત્યારે ફોનને તો સ્વીચ ઓફ કરીને જ મૂકી દેવાનો. અને બીજું છે કે ફેમિલી ફંક્શન છે, મતલબમાં વાંચતા હોઈએ અને કોઈ ફ્રેન્ડ્સ બોલાવે કે 'ચાલ ને એક દિવસમાં શું થઈ જશે', આ બધું તમારે સેક્રિફાઈસ તો કરવું જ પડશે. આગળ હું કોર્પોરેટમાં જ જોઈન કરવા માંગુ છું, ઇનિશિયલ યરમાં તો પીએસયુ (PSU) સેક્ટરમાં.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરે હવે સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી ડગલું ભરવા જઈ રહ્યુ છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2026-27 ના બજેટમાં શહેરના ચાર રસ્તાઓ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ’ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. હાલના તબક્કે આ પ્રોજેક્ટ માટે 40 લાખ રૂપિયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. શું છે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ?શહેરના વ્યસ્ત ટ્રાફિક સિગ્નલો પર અનેક નાના બાળકો આખો દિવસ ભિક્ષાવૃત્તિ કરતા અથવા તો ખુલ્લા પ્લોટમાં બિનજરૂરી પ્રવૃત્તિઓમાં પોતાનો કિંમતી સમય વેડફતા જોવા મળે છે. આ બાળકો ગરીબી અને મજબૂરીના કારણે શિક્ષણના અધિકારથી વંચિત રહી જાય છે. આ સ્થિતિને બદલવા માટે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. યોજના મુજબ, આ બાળકોને શોધવા માટે અલગ-અલગ ટીમો દ્વારા સર્વે કરવામાં આવશે. જે બાળકો 6 થી 14 વર્ષની વયના છે, તેમની યાદી તૈયાર કરી તેમને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવશે. આ માટે મનપાના વર્કશોપ વિભાગની જૂની બસોને અત્યાધુનિક સુવિધાઓ સાથે ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ ડિઝાઈનમાં રૂપાંતરિત કરવામાં આવશે. બસમાં હાલતી ચાલતી શાળા શરૂ કરાશેઆ બસમાં કોમ્પ્યુટર સહિત એજ્યુકેશનની સુવિધા પણ ઉભી કરવામાં આવશે ખાસ કરીને બસમાં જીપીએસ અને સીસીટીવી પણ ઇન્સ્ટોલ કરવાની સાથે તેનું આઈ સી સી દ્વારા મોનિટરિંગ પણ કરાશે સિગ્નલ સ્કૂલ શરૂ કર્યા બાદ ભિક્ષાવૃત્તિમાં સંડોવાયલા બાળકોના ઉજ્વળ ભવિષ્યને ત્યાં ને રાખીને ધ્યાને રાખીને તેઓને નિયમિત શિક્ષણ પૂરું પાડવામાં આવશે અને મેન સ્ટ્રીમ કરાવ્યા બાદ તેઓ આગળના અભ્યાસમાં પણ જળવાઈ રહે તે માટે ખાસ પ્રોત્સાહનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. પ્રત્યેક બસમાં બે શિક્ષક ફરજ બજાવશેહાલમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પ્રત્યેક બસને ચાઈલ્ડ ફ્રેન્ડલી ડિઝાઇનથી તૈયાર કરવામાં આવશે જ્યારે બસમાં છ કોમ્પ્યુટર સ્માર્ટ એજ્યુકેશન સુવિધા પણ ઉભી કરાશે. બાળકોને નિયમિત અને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા પ્રત્યેક બસમાં બે શિક્ષકો તથા વર્ગખંડ માટે બે શિક્ષકો તથા હેલ્પ અને સુપરવિઝન માટે નિરીક્ષક ની નિમણૂક કરીને તેઓને જરૂરી તાલીમ પણ અપાશે. આરોગ્યની નિયમિતપણે તપાસ થશેસિગ્નલ સ્કૂલના પાયલોટ પ્રોજેક્ટને ધ્યાન રાખીને અભ્યાસ માટે આવતા બાળકોને શિક્ષણની સાથે સાથે અન્ય સુવિધાઓ પણ મળી રહે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સિગ્નલ સ્કૂલમાં જ બાળકોને નિશુલ્ક મધ્યાન ભોજન યોજનાની સાથે સાથે તેમના આરોગ્યની નિયમિત પણે તપાસ કરવામાં આવશે. પ્રોજેક્ટ શરૂ થયા બાદ આગામી શૈક્ષણિક સત્રમાં જ તે ધોરણનો બ્રિજ કોર્સ પૂર્ણ કરાવીને તેનું મૂલ્યાંકન કરી પોકેટ એરિયાની નજીકની શાળામાં પ્રવેશ કરાવવામાં આવશે. વહેલી તકે સર્વે હાથ ધરાશેનગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ અંગે વહેલી તકે શહેરના ચાર રસ્તા ઉપર સર્વેની કામગીરી પણ હાથ ધરાશે અને ત્યારબાદ બાળકોને નિયત સ્થળેથી લેવા અને શાળા સમય બાદ બાળકોને વાલીઓને સોંપવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને શિક્ષણની સાથે અન્ય આનુસાંગિક કામગીરીની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
કાકણપુર નજીક બાઇક સ્લીપ થતા યુવક ગંભીર ઇજાગ્રસ્ત:વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
કાકણપુર પંથકમાં માર્ગ અકસ્માતની એક ઘટના બની છે. પઢીયાર ગામ પાસે બાઇક સ્લીપ થતાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. મળતી માહિતી મુજબ, પઢીયાર ગામના રહેવાસી વાલજીભાઈ બામણીયા પોતાની મોટરસાયકલ પર પઢીયાર-વિઝોલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમણે બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માતને કારણે વાલજીભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક કાકણપુર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજા ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
સંઘપ્રદેશ દમણના પાતલીયા બ્રિજ પર બુધવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પારડીના રોહિણા ગામના 70 વર્ષીય વૃદ્ધ રવલાભાઈ વેસ્તાભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, બુધવારે બપોરે 3:30 થી 4:00 વાગ્યાના સુમારે રવલાભાઈ પટેલ (ઉ.વ. 70, રહે. રોહિણા, તા. પારડી) પોતાની બાઈક (નં. GJ-26-B-7831) લઈને પાતલીયા પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમની બાઈક કન્ટેનર (નં. RJ-52-GB-3104) ના પાછળના ટાયરની અડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં વૃદ્ધ કન્ટેનર નીચે ફંગોળાઈ ગયા હતા અને ટ્રકનું ટાયર તેમના માથા પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ કન્ટેનર ચાલકે પોતે દમણ પોલીસને કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોટી દમણ સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પંચમહાલના કાલોલ ખાતે વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ સહિતના પક્ષોને 'મોસમી દેડકા' ગણાવ્યા હતા, જે ફક્ત ચૂંટણી સમયે જ સક્રિય થતા હોવાનું જણાવ્યું. વિશ્વકર્માએ કહ્યું કે, કોઈપણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ પક્ષ વરસાદી દેડકાની જેમ ફૂટી નીકળે છે. તેમણે ઉમેર્યું કે, જે રીતે વરસાદમાં દેડકા 'ડ્રાઉં-ડ્રાઉં' કરતા બહાર આવે છે, તે જ રીતે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી આવતા જ સક્રિય થાય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે ફક્ત ચૂંટણીલક્ષી કામ કરતો નથી. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય, અવિરત અને સતત પ્રજા વચ્ચે રહીને રાત-દિવસ કામ કરે છે. વિશ્વકર્માએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દો ટાંક્યા: ખુદ સે બડા દલ ઔર દલ સે બડા દેશ. તેમણે કાર્યકર્તાઓને બૂથને મજબૂત કરવા, પ્રજાના સંપર્કમાં રહેવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનલક્ષી તથા વિકાસલક્ષી કાર્યોને ઘર-ઘર સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.
વડોદરા ગ્રામ્ય SOG પોલીસની ટીમે પાદરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ (અગ્નિશસ્ત્ર) સાથે બે આરોપીઓને ઝડપી પડ્યા છે. આ મામલે પાદરા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની ગેરકાયદેસર હથિયાર રાખનારા પર વોચવડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.સિસોદીયા દ્વારા ટીમો રચીને ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો પર વોચ રાખમાં આવી રહી છે. દરમિયાન પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાધી ગામ પાસે મળેલી ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે વોચ ગોઠવી હતી. પોલીસે શોટ ગન સાથે બે શખસોને ઝડપી પાડ્યાઆ દરમિયાન પાદરાના સરસવણી ગામ તરફથી મોટરસાયકલ પર આવતા બે શખસોને રોકીને તપાસ કરતાં તેમની પાસેથી શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ (અગ્નિશસ્ત્ર) એક નંગ સાથે એક નંગ કારતુસ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે મહેબુબખા કેસરખા પઠાણ (ઉંમર 45, રહે. રણું વાળા રોડ ઉપર, સાધી, તા. પાદરા, જિ. વડોદરા) અને ઇનાયતભાઇ ઉસ્માનભાઇ ઘાંચી (ઉંમર 25 રહે. સાધી, તળાવવાળુ ફળીયુ, તા. પાદરા, જિ. વડોદરા) ને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજો આરોપી ફરાર થતા શોધખોળ ચાલુઆ કેસમાં ત્રીજો આરોપી જાફર બાપુ (રહે. વડોદરા શહેર) હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 60,050 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ (અગ્નિશસ્ત્ર) એક, બાઈક, મોબાઈલ ફોન બે ઝડપી પાદરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં મહાનગરપાલિકાએ દબાણો હટાવ્યા:નગર દરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી કાર્યવાહી
મોરબી મહાનગરપાલિકાની ટીમે નગર દરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. બપોરના સમયે આ વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણો વધી જતા હોવાથી મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ શહેરના મુખ્ય માર્ગો પરના કાચા-પાકા દબાણો દૂર કરવાની કામગીરી નિયમિતપણે કરવામાં આવે છે. આજે સાંજના સમયે નગર દરવાજા ચોકમાં વાહન પાર્કિંગ માટે મહાનગરપાલિકા દ્વારા સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા છે, તે જગ્યાઓ પર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન કેટલાક વેપારીઓ દ્વારા દુકાનની બહાર માલસામાનના પથારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ખાણીપીણીની લારીઓ દ્વારા પણ રોડ પર દબાણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની ટીમે રોડની સાઈડમાં અને મુખ્ય ચોકની વચ્ચેના આવા તમામ લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ મહાનગરપાલિકા કચેરી સામે ભરાતા શ્રમિકોના મેળાને બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. નગરજનો, વેપારીઓ અને વાહનચાલકો દ્વારા મોરબીના હેરિટેજ સમાન નગર દરવાજા ચોક આસપાસના દબાણો કાયમી ધોરણે દૂર કરવા માટે સમાન જાહેરનામું પ્રસિદ્ધ કરી પોલીસ વિભાગ દ્વારા તેનો ચુસ્તપણે અમલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
પાટડી નગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કુલ રૂ. 497.92 લાખના વેરા સામે માત્ર રૂ. 108 લાખ (21.68%)ની વસૂલાત થઈ છે. આથી, પાલિકાએ રૂ. 10,000થી વધુ રકમ બાકી હોય તેવા 50થી વધુ મિલકતધારકોને નોટિસ ફટકારી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા અને ટેક્સ ઇન્સ્પેક્ટર નીરવભાઈ સુથારે જણાવ્યું કે, ઓછી વસૂલાતને કારણે બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. પાછલા અને ચાલુ વર્ષના બાકી વેરાની વસૂલાત માટે પાંચ ટીમો ડોર-ટુ-ડોર જશે. આ ઝુંબેશ અંતર્ગત, રૂ. 5,000થી વધુ વેરો બાકી હોય તેવા મિલકતધારકોના પાણીના કનેક્શન કાપવામાં આવશે. જ્યારે, રૂ. 10,000થી વધુ વેરો બાકી હોય તેવા મિલકતધારકોની મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકા દ્વારા પાણીવેરો, મિલકતવેરો, વ્યવસાય વેરો અને દુકાન ભાડાની બાકી રકમ તાત્કાલિક ભરવા માટે નોટિસો અપાઈ છે. આ ઉપરાંત, જાહેર ચોકમાં નોટિસ બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે. નગરજનો ઈ-નગર એપ્લિકેશન દ્વારા ઓનલાઈન વેરો પણ ભરી શકશે. આ માટે, ગૂગલ પ્લે સ્ટોર પરથી E-nagar એપ્લિકેશન ડાઉનલોડ કરીને નવું એકાઉન્ટ બનાવવું પડશે અને ID-પાસવર્ડ જનરેટ કરવો પડશે. એપ્લિકેશનમાં 'પ્રોપર્ટી ટેક્સ' મેનુ પર ક્લિક કર્યા બાદ 'ક્વિક પે' વિકલ્પ પસંદ કરવો. ત્યારબાદ 100 લખી વોર્ડ નંબર અને નવો ટેનામેન્ટ નંબર દાખલ કરીને બેંક પસંદ કરી સીધું ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઇથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું હતું. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું. જે જોતાં પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખસની શંકાસ્પદ હિલચાલ દેખાઇ હતી. જેના આધારે તેની તપાસ કરતાં આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાનું અંડરવેર જોઇને દંગ રહી ગયા હતા. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટલીજન્ટ યુનિટે બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલાં દિલ્હીના સુનિલ ભાટિયા પાસેથી 108.07 ગ્રામ સોનાનો જથ્થો પકડી પાડયો હતો.જેની બજાર કિંમત અંદાજે 17.19 લાખ થવા જાય છે. મુસાફરે પોતાના મોંઢામાં કાળી ટેપ લપેટીને ચાર કેપ્સ્યૂલ આકારના સોનાના બિસ્કીટ સંતાડ્યા હતા. જ્યારે જેદાહથી અમદાવાદ આવેલી અકાસા એરની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી 4 મહિલાનો સામાન સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ જણાતાં તેની ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન સામાનમાંથી સોનાની 7 ચેઇન (રોડિયમ કોટેડ) અને સોનાની 7 બંગડીઓ છૂપાવેલી સ્થિતિમાં મળી આવી હતી. તેનું કુલ વજન 945.57 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. જેની બજાર કિંમત 1,52,23,677 થાય છે. આવા કિસ્સાંઓ તો અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોજબરોજના બનતાં જાય છે. આ જ રીતે ગાંજા સાથે એક મહિલા પકડાઇ હતી. સોનાના ભાવ તાજેતરમાં આસમાને પહોંચ્યા હતા. જેના કારણે એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સાંઓ વધતાં ગયા હતા. તે જ રીતે ગાંજાની હેરાફેરી પણ વધતી ગઇ છે. જો કે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટલીજન્ટ યુનિટની બાજનજરના કારણે મહત્તમ કેસો પકડીને ગુનેગારોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સાથોસાથ વધુમાં વધુ કેસો પકડીને ગુનેગારને પાઠ ભણાવી શકાય તે માટે અત્યંત આધુનિક સ્કેનિંગ મશીન પણ વસાવવામાં આવ્યા છે. હવાઇ માર્ગે દાણચોરીના કિસ્સા વધ્યાઆજથી દાયકાઓ પૂર્વે શિપમાં દાણચોરી થતી હતી. આજે તેમાં ઘટાડો થયો છે પરંતુ હવે હવાઇ માર્ગે દાણચોરીના કેસો વધતાં જાય છે. એક યા બીજી રીતે ચીજવસ્તુને ઘૂસાડવા માટે દાણચોરો દ્રારા નીતનવા નુસખાઓ અપનાવવામાં આવે છે. કોઇ ગુદા માર્ગે, કોઇ બેગમાં છૂપાવીને તો કોઇ ચોકલેટના પેકેટ દ્વારા દાણચોરી કરે છે. તાજેતરમાં એક મુસાફર ટ્રોલી બેગના તળિયામાં ગાંજાનો જથ્થો છૂપાવીને લાવ્યો હતો. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ સતત 17 મિનિટ સુધી હથોડી અને સ્ક્રૂ ડ્રાઇવર સહિતના સાધનોથી માંડ બેગ તોડીને બેગના તળિયે છૂપાવેલી 4 પ્લેટ શોધી હતી. તાજેતરમાં જ એક મહિલાને પેટની અંદર હેરોઇનની 79 કેપ્સ્યૂલ મૂકીને જોખમી કૃત્ય કરવા બદલ 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તાજેતરમાં એક મુસાફર મોંઢામાં કાળી ટેપ લપેટીને ચાર કેપ્સ્યૂલ લાવ્યો હતો. આમ કસ્ટમ્સ વિભાગને ગુનેગારોને પકડવા માટે સતત અપડેટ થતું રહેવું પડે છે. 2025માં 28.74 કરોડની માલમત્તા ઝડપાઇવર્ષ 2025ના વર્ષની વાત કરીએ તો કસ્ટમ્સના એર ઇન્ટલીજન્ટ યુનિટે અમદાવાદ તેમજ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોના ઉપરાંત ગાંજો તેમજ વિદેશી અને ભારતીય ચલણ, આઇ ફોન, કિંમતી ઘડિયાળો તો ખરી જ પરંતુ એક્ઝોસિક લાઇવ બર્ડનો પણ એક કેસ કર્યો હતો. આમ કસ્ટમ્સ વિભાગે 2025માં કુલ 88 કેસો કરીને 28.74 કરોડની માલમત્તા કબ્જે કરી હતી. આ ગુનામાં 41 જણાંની ધરપકડ કરી હતી. આ 88 કેસોમાંથી 19 કેસો તો દાણચોરીના નોંધ્યા હતા. જેમાં સોનાના દરદાગીનાથી માંડીને ગાંજા તેમજ હસીસનો જથ્થો ઉપરાંત કિંમતી ઘડિયાળોના કેસોનો સમાવેશ થાય છે. સૌથી વધુ કેસ સોનાની દાણચોરીના 2025માં કરાયેલાં કેસો પૈકીના સૌથી વધુ 55 કેસો તો માત્ર સોનાની દાણચોરીના છે. જેમાં 19 જણાંને પકડીને 26859.79 ગ્રામ સોનાનો જથ્થો જપ્ત કર્યો હતો. કસ્ટમ વિભાગે તેની 23.17 કરોડ કિંમત આંકી છે પણ બજાર કિંમત ગણવામાં આવે તો 25.42 કરોડ થવા જાય છે. તે જ રીતે ગાંજા સાથે 20 જણાંને ઝડપી લઇને 20 કેસો કરીને 98,546.06 ગાંજાનો જથ્થો પકડી પાડયો હતો. આ ઉપરાંત 1,73,86,877ની કિંમતની વિદેશી ચલણી નોટો પકડીને છ કેસો કરવામાં આવ્યા હતા. જો કે તેમાં એક જણાંની ધરપકડ કરવામાં આવી હતી. 9,50,000ની ભારતીય ચલણી નોટો કબ્જે કરીને એક જણાંની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આઇ ફોન, કિંમતી ઘડિયાળો, લેપટોપ તેમજ સિગારેટ વગેરે પણ પેસેન્જરો પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા.
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં ગઢેચી વડલાના નાળાની નીચે ગંજીપાની જુગાર બાજી માંડી રોકડ હારજીતનો જુગાર રમતા સાત શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રૂ.11,340ની રોકડ રકમ તેમજ ગંજીપા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ શખસો સામે પોલીસે જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીબોરતળાવ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ પોલીસને ગઢેચી વડલાના નાળાની નીચે જાહેર ખુલ્લી જગ્યામાં અમુક વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હોવા અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રેડ કરતા ગોળ કુંડાળું વળી ગંજીપા ઉપર રોકડ પૈસાની હારજીતનો જુગાર રમતા સાત શખસો મળી આવ્યા હતા. પોલીસે જુગાર રમતા તમામ શખસોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા સાત આરોપી પોલીસ દ્વારા સ્થળ પરથી ગંજીપાનાં તથા કુલ રૂ. 11,340ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પોલીસે જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સંઘપ્રદેશ દમણના દિલીપનગર વિસ્તારમાં એક ફ્લેટમાં દમણ સબજેલમાં LDC તરીકે ફરજ બજાવતા મૂળ દીવના યુવક દર્પણ બામણીયાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક તેના મિત્ર સાથે ફ્લેટમાં રહેતો હતો. ગઈકાલે રાત્રે જમીને સૂઈ ગયા બાદ, બીજા દિવસે સવારે લગભગ 11 વાગ્યે જ્યારે તેનો મિત્ર જાગ્યો, ત્યારે તેણે દર્પણને ઘરની લોખંડની ઝાળીમાં બેલ્ટ વડે ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. આ દ્રશ્ય જોઈને મિત્રએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોટી દમણ સીએચસી ખાતે મોકલી આપ્યો હતો. સરકારી નોકરી કરતા આ યુવકે કયા કારણોસર આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું તે અંગેનું કારણ હજુ અકબંધ છે. દમણ પોલીસે આ દિશામાં વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગોધરા રેલવે હોસ્પિટલમાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો:વડોદરા HCG હોસ્પિટલના નિષ્ણાતોએ તપાસ કરી
ગોધરા રેલવે હોસ્પિટલ ખાતે રેલવે કર્મચારીઓ માટે કેન્સર નિદાન અને જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે પ્રશાસન દ્વારા કર્મચારીઓના સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતા આ વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વડોદરાની HCG હોસ્પિટલના કેન્સર રોગ નિષ્ણાત ડૉ. રોબિન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગોધરા અને આસપાસના વિસ્તારના 40 થી વધુ કાર્યરત અને નિવૃત્ત રેલવે કર્મચારીઓની તપાસ કરી હતી. ડૉ. રોબિન દ્વારા કેન્સરના શરૂઆતી લક્ષણો, તેને અટકાવવાના ઉપાયો અને આધુનિક સારવાર પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી હતી. કેન્સર જેવા ગંભીર રોગ સામે લડવા માટે 'વહેલું નિદાન' એ જ શ્રેષ્ઠ ઉપાય છે, તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હતું. રેલવે કર્મચારીઓએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો. તબીબો દ્વારા આપવામાં આવેલી જીવનશૈલી સુધારવાની સલાહને પણ તેમણે આવકારી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલકુમાર ઉધનાવાલા દ્વારા એડવોકેટ ઝમીર શેખ મારફતે અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાતના ચીફ ઇલેક્શન કમિશનરને પક્ષકાર બનાવાયા છે. આ અરજી SIR મુદ્દે કરવામાં આવી છે. અરજદારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ SIR મુદ્દે 24 જાન્યુઆરીએ ચીફ ઇલેક્શન કમિશનરને SIR મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. વૈધાનિક નિયમોનું SIR પ્રક્રિયામાં પાલન થઈ રહ્યું નથી. ભાજપના કાર્યકરોએ મોટા પાયે ફોર્મ 7 ભર્યામતદાર યાદી સંદર્ભે ઓબ્જેક્શન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી, 2026 હતી. ત્યાં સુધીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મોટા પાયે ફોર્મ 7 ભર્યા છે. સંલગ્ન મતદારોને સાંભળ્યા વગર કે પુરાવા રજૂ કરવાની તક આપ્યા વગર મતદાર યાદીમાંથી નામ દૂર કરી શકાય નહીં. નિયમોનું ઉલ્લંઘન ચૂંટણી અધિકારીઓ જ કરી રહ્યા છે. શાહબુદ્દીન રાઠોડનું નામ પણ યાદીમાંથી કાઢી નાખવા અરજીગુજરાતમાં મતદારોનો હક્ક જોખમમાં છે. ભાજપ કાર્યકરો દ્વારા પણ નિયમોનો ભંગ કરાઈ રહ્યો છે. વળી સમય સીમા વીત્યા બાદ પણ ઓબ્જેક્શન ફોર્મ ભરાઈ રહ્યા છે. ખ્યાતનામાં શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી કાઢી નાખવા અરજી આપવામાં આવી હતી. હાઇકોર્ટમાં આ અરજી મુદ્દે આગામી સમયમાં સુનાવણી યોજાશે.
ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પાવન અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભક્તિભાવ સાથે ભરડાવાવથી ભવનાથ મંદિર સુધી પદયાત્રા કરી હતી. તેમની સાથે જૂનાગઢ વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને પદાધિકારીઓ પણ આ પદયાત્રામાં જોડાયા હતા. મેળાના પ્રારંભે જ ભવનાથ તળેટીમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ પ્રસંગે આહિર અને મહેર સમાજની મહિલાઓ તેમજ પુરુષોએ પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી અને કલાકારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જેનાથી મેળામાં લોકસંસ્કૃતિના અનોખા દર્શન થયા હતા.સાધુ સંતોએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત હતું. આગામી પાંચ દિવસ સુધી ભવનાથની તળેટીમાં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં આજે રાત્રે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકોર શિવ આરાધનાના સુર રેલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. મેળાના મુખ્ય આકર્ષણ સમાન નાગા સાધુઓએ પોતાની ધૂણી ધખાવી 'અલખ નિરંજન'ના નાદ સાથે આખા વાતાવરણને શિવમય બનાવી દીધું છે. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે આ મેળો આસ્થાનું કેન્દ્ર બન્યો છે. ભોજનશાળાઓ અને અન્નક્ષેત્રોમાં ભાવિકો ઉમટી રહ્યા છે, જ્યાં સેવાની સરવાણી વહી રહી છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. ભીડનો લાભ લઈ કોઈ અનિચ્છનીય ઘટના કે ગુનાખોરી ન બને તે માટે 5 સ્પેશિયલ સર્વેલન્સ ટીમ સતત કાર્યરત રહેશે. મેળામાં કુલ 3,475 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે પોલીસની 'શી ટીમ' (SHE Team) ખડેપગે સેવા આપશે. આ વર્ષે પ્રથમ વખત મેળામાં પોલીસની સાથે 800 જેટલા સ્વયંસેવકો ટ્રાફિક નિયંત્રણ અને વ્યવસ્થા જાળવવામાં જોડાશે, જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય. આગામી પાંચ દિવસ સુધી જૂનાગઢની ગિરિમાળામાં હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ ગુંજતા રહેશે.
કલોલના સર્વિસ રોડ પર આજે એક સગીરની મોજમસ્તીએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. સંસ્કૃતિ મૂવીપ્લેક્સ સામે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એક બેફામ થાર ગાડીએ રિક્ષા અને બાઈક સહિત ત્રણ વાહનોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ અકસ્માત સર્જનાર કોઈ રીઢો ગુનેગાર નહીં પણ ધો. 12માં ભણતો એક સગીર વિદ્યાર્થી છે. હાલ પોલીસે સગીરને રાઉન્ડ અપ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સ્કૂલના ફંક્શન રોલો પાડવા અમદાવાદથી થાર ભાડે લીધીકલોલ તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર, કલોલમાં રહેતા કૈલાશભાઈ પુરબિયાનો 18 વર્ષીય પુત્ર તેની સ્કૂલમાં ફંક્શન હોવાથી રોલો પાડવા માગતો હતો. આ માટે તે તેના બે મિત્રો સાથે અમદાવાદથી ખાસ થાર ગાડી ભાડે કરીને લાવ્યો હતો. બાદમાં ત્રણેય મિત્રોએ નજીકના પેટ્રોલ પંપ પરથી ઈંધણ પૂરાવ્યું અને કૈલાશભાઈના પુત્રએ સ્ટીયરિંગ હાથમાં લઈને ગાડી પૂરપાટ ઝડપે દોડાવી હતી. થારની ટક્કરે બાઈકચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયોદરમિયાન સ્કૂલે જતી વેળાએ સર્વિસ રોડ પર ગાડી પરથી કાબૂ ગુમાવતા સગીરે બાઈકચાલક, લોડિંગ રિક્ષા અને એક મોપેડને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે થાર ગાડીએ ટક્કર મારતા જ બાઈકચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો અને બાઈક થારની નીચે ફસાઈને સાવ દબાઈ ગયું હતું. આ ઘટનામાં 3થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમાં એક બે વર્ષનું બાળક પણ ઇજાગ્રસ્ત થયું છે. રાંદેસણના હિતેશ પટેલ કાંડ જેવી ઘટનાનું પુનરાવર્તનઆ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે આ ઘટનાએ રાંદેસણમાં સિટી પલ્સ થિયેટર સામે હિતેશ પટેલે સર્જેલા કાંડની યાદ તાજી કરી છે. ગાંધીનગરના રાંદેસણ સર્વિસ રોડ પર ગત 25 જુલાઈના રોજ હિતેશ પટેલે 83 કિમીની ઝડપે કાર હંકારી બે નિર્દોષોના જીવ લીધા હતા. સદનસીબે કલોલની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સગીર વયના બાળકોમાં વધતો જતો કાર ક્રેઝ અને સ્ટંટબાજીનું વળગણ ચિંતાનો વિષય બન્યો છે. પોલીસે ત્રણેય સગીરોને રાઉન્ડઅપ કર્યાઆ મામલે કલોલ તાલુકા પોલીસે તાત્કાલિક અકસ્માત સર્જનાર ત્રણેય સગીરોને રાઉન્ડઅપ કરી લીધા છે. હાલમાં પોલીસ દ્વારા ગુનો નોંધવાની અને ગાડી ભાડે આપનાર એજન્સી વિરૂદ્ધ પણ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બાઈકચાલકને હાથ અને પગમાં ફેક્ચર થયુંઆ અંગે નોંધાયેલી ફરિયાદ મુજબ, કલોલના મન્નતપાર્ક સોસાયટીમાં રહેતા અને અડાલજ ખાતે રાજ ટ્રક ગેરેજ ચલાવતા સુએબ અહમદ શેખ પોતાના બાઈક પર ગેરેજ જઈ રહ્યા હતા. આ દરમિયાન આંબેડકર બ્રિજ પાસે સર્વિસ રોડ પર સામેથી રોંગ સાઈડમાં પૂરઝડપે આવતી થારે પહેલાં એક એક્ટિવાને ટક્કર મારી હતી. ત્યાર બાદ થાર સુએબભાઈના બાઈક સાથે જોરદાર અથડાઈ હતી. જેના કારણે તેઓ નીચે પટકાયા હતા અને તેમનું બાઈક થારની નીચે ફસાઈ ગયું હતું. બેફામ બનેલી આ થારે રોડની સાઈડમાં ઉભેલી એક લોડિંગ રિક્ષાને પણ અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લોડિંગ રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સુએબ અહમદ શેખને ડાભા પગ અને જમણા હાથે ગંભીર ફેક્ચર થયું છે. લોડિંગ રિક્ષામાં બેઠેલા બે ભાઈઓને હાથે ઇજાઓ પહોંચતા કલોલ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી સી.પી.પી.એલ. કંપનીના કોન્ટ્રાક્ટ કામદારોએ તેમના પડતર પ્રશ્નો અને મેનેજમેન્ટ દ્વારા થતા કથિત અન્યાય અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. કામદારોએ લેબર કમિશનરને સંબોધીને આ આવેદનપત્ર સુપરત કર્યું છે. કામદારોના જણાવ્યા મુજબ, 11 થી 15 વર્ષનો અનુભવ હોવા છતાં તેમને માસિક માત્ર રૂ. 16 થી 17 હજારનો પગાર મળે છે. કાયમી કર્મચારીઓની સરખામણીમાં તેમનો પગાર વધારો અત્યંત ઓછો (રૂ. 200-300) હોય છે. વધતી મોંઘવારી છતાં મુસાફરી ભથ્થું કે ટ્રાવેલ સુવિધા અપાતી નથી. આવેદનપત્રમાં મેડિકલ સહાય, ફેમિલી ઇન્સ્યોરન્સ જેવી પાયાની સુવિધાઓના અભાવનો પણ ઉલ્લેખ છે. રાત્રિ પાળી બાદ થતા અકસ્માતોની જવાબદારી કંપની સ્વીકારતી ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કામદારોએ વેરહાઉસ ઇન્ચાર્જ દ્વારા કામદારો અને મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાઓને તેમની મરજી વિરુદ્ધ મશીન પર કામ કરવા દબાણ કરાતું હોવાનું પણ જણાવાયું છે. સેફ્ટી ઇન્ચાર્જ દ્વારા કોન્ટ્રાક્ટ મજૂરોને વોટર કુલરનું પાણી પીતા અટકાવવા અને કેન્ટીનમાં ભેદભાવ રાખવાનો પણ આક્ષેપ કરાયો છે. અન્ય ફરિયાદોમાં ઇમરજન્સી રજા લેતા પગાર કપાત, 12 પેઇડ લીવ ન મળવી અને ઓવરટાઇમનું ડબલ વેતન ન ચૂકવાતું હોવાનો સમાવેશ થાય છે. કામદારો બે પેઢીના ‘પેટા કોન્ટ્રાક્ટ’ હેઠળ કામ કરતા હોવાથી તેમને આર્થિક નુકસાન થતું હોવાનું પણ જણાવ્યું છે. આથી, કામદારોએ તેમને સીધા કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા અથવા કાયમી રક્ષણ આપવાની માંગ સાથે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
આગામી 14 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનના સહયોગથી એક વિશેષ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય વિષય આર્બિટ્રેશન, મીડિયેશન અને કન્સિલિયેશન રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જે.સી. દોશી ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય નિષ્ણાત અને દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ તેજસ કારિયા તેમજ વિશેષ અતિથિ તરીકે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ આર.ટી. વાછાણી પ્રેરણાદાયી હાજરી આપશે. દેશભરના નામી નિષ્ણાતો આપશે વક્તવ્ય આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો પોતાના વિચારો રજૂ કરશે. વક્તાઓ તરીકે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ મેમ્બર ટી.આર સેંથીલકુમાર, બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પ્રશાંતકુમાર અને ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હૃદય બુચ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનના સેક્રેટરી જનરલ નીતિ સચદેવા, આંતરરાષ્ટ્રીય મીડિયેશન નિષ્ણાત નીતિન મહેતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી પંકજભાઈ દેસાઈ પણ માર્ગદર્શન આપશે. વિવિધ સંસ્થાઓનો સહયોગ અને આયોજન લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન કમલેશ જોષીપુરા અને નીતિન ઠક્કરના પ્રયાસોથી પ્રથમવાર આ પ્રકારનો કાર્યક્રમ રાજકોટમાં યોજાઈ રહ્યો છે. આ સેમિનારમાં નિરમા યુનિવર્સિટી નોલેજ પાર્ટનર તરીકે અને વેસ્ટર્ન રીજીયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ સહયોગી તરીકે જોડાયા છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિ શાંતા કુમારના માર્ગદર્શન હેઠળ સહભાગીઓને વિષય સંબંધિત પુસ્તકો પણ ભેટ આપવામાં આવશે. વિશાળ સંખ્યામાં પ્રતિનિધિઓ લેશે ભાગ આ સેમિનારમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી ધારાશાસ્ત્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ચાર્ટર્ડ સેક્રેટરીઝ તેમજ બેંકિંગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને બાર એસોસિએશન જેવી અનેક સંસ્થાઓનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરતો સહયોગ આપી રહી છે.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે શાસક પક્ષના 12 સભ્યોએ ગંભીર આક્ષેપો કરતો પત્ર પાલિકા પ્રમુખને સુપરત કર્યો છે. પત્રમાં ચીફ ઓફિસર પર મનસ્વી વહીવટ, અને સભ્યો તેમજ અરજદારો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, ચીફ ઓફિસર દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર પરવાનગીઓ આપીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્રમાં મનમાની ચાલતી હોવાથી પાલિકાના સભ્યો કે સામાન્ય અરજદારો રજૂઆત કરવા જાય ત્યારે તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવે છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે, શહેરના વિકાસના કામોમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવે છે અને કાયદા વિરુદ્ધ જઈને કામગીરી થાય છે. ચીફ ઓફિસર મીડિયામાં વહીવટી બાબતોની ખોટી માહિતી આપીને પ્રજાને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ સભ્યોએ ઉલ્લેખ કર્યો છે. શહેરમાં હાલ ગંદકી અને દબાણના પ્રશ્નો વધી રહ્યા છે, પરંતુ તેના પર કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. નગરસેવક ધર્મેશ પ્રજાપતિ જ્યારે પોતાના વિસ્તારની રજૂઆત લઈને ચીફ ઓફિસર પાસે ગયા ત્યારે તેમની સાથે પણ અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું પત્રમાં નોંધવામાં આવ્યું છે. શાસક પક્ષના 12 સભ્યોએ સહી સાથે પત્ર આપી પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પૂર્વે જ રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગે પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે સઘન ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. શહેરમાં વિવિધ એજન્સીઓ દ્વારા 'મિનરલ વોટર'ના નામે વેંચાતા શંકાસ્પદ વોટર જગ અને બરફના કારખાનાઓ સામે તંત્ર લાલઆંખ કરી રહ્યું છે. આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં શહેરના ત્રણેય ઝોનમાં કુલ 53 જેટલા એકમોને આરોગ્યના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી જયેશ વકાણીના માર્ગદર્શન હેઠળ ગત 5 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવાનો દાવો કરવામાં આવ્યો છે. અશુદ્ધ પાણી અને બરફ વેચતા એકમો સામે લાલઆંખ રાજકોટના વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ફેલાયેલા વિવિધ પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરીઓમાં તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ઘણા એકમોમાં પાણીની શુદ્ધતા માટેના જરૂરી માપદંડો જાળવવામાં આવતા નહોતા. ઉનાળામાં પાણી અને બરફની માંગમાં તોતિંગ વધારો થતો હોય છે, જેનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને શુદ્ધિકરણની પ્રક્રિયામાં ખામી જોવા મળતા 53 સ્થળોને સીલ કરી દેવાયા છે. સીલ કરવામાં આવેલા મુખ્ય એકમોની યાદી * વેસ્ટ ઝોન: જીંજલ સેલ્સ (શાસ્ત્રીનગર), દ્વારકેશ ડ્રિંકિંગ વોટર (રૈયાધાર), વિરાજ ડ્રિંકિંગ વોટર, ક્રિશ ડ્રિંકિંગ વોટર (શિતલપાર્ક), દેવરાજ ડ્રિંકિંગ વોટર, ઓમ ચિલ્ડ વોટર (એનિમલ હોસ્ટેલ પાસે), આદિત્ય મિનરલ વોટર, ઝરણાં વોટર સપ્લાયર્સ (શ્યામનગર), રામ આર.ઓ. વોટર, બંસી આર.ઓ. વોટર (રૈયાગામ), શિવ ડ્રિંકિંગ વોટર અને કિસ્મત ડ્રિંકિંગ વોટર સહિતના એકમો. * સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોન: લીઓ ફ્રેશ વોટર (ગીતાનગર), જીવનદિપ એન્ટરપ્રાઈઝ, આશાપુરા વોટર (લક્ષ્મીવાડી), સૈફા ડ્રિંકિંગ વોટર (પોપટપરા), જય દ્વારકાધિશ વોટર (કેવડાવાડી), જય ચામુંડા મિનરલ વોટર (સોલવન્ટ), ભગવતી વોટર સપ્લાયર (ગુલાબનગર), ઉમેશ મિનરલ વોટર અને ક્રિષ્ના આઈસ ફેક્ટરી (ખોખડદડ નદી પાસે) જેવા એકમોનો સમાવેશ થાય છે. ઉપરાંત સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ અને પરમધામ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા અનેક વોટર પ્લાન્ટ્સ પણ નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવ્યા છે. મનપા દ્વારા વિતરણ થતા પાણીના 37 નમૂના ફેઈલ એક તરફ તંત્ર ખાનગી એજન્સીઓ સામે પગલાં લઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. છેલ્લા એક મહિનામાં લેવામાં આવેલા નમૂનાઓના પરીક્ષણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અને 37 જેટલા પાણીના નમુના ફેઈલ જાહેર થયા છે. જેને લઈ આરોગ્ય વિભાગે વોટરવર્ક્સ વિભાગ સાથે મળી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા જાળવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. * વેસ્ટ ઝોન: ક્લોરીનના 147 નમૂનામાંથી 8 અને બેક્ટેરિયોલોજીકલ 142 નમૂનામાંથી 8 નમૂના ફેઈલ થયા છે. * સેન્ટ્રલ ઝોન: ક્લોરીનના 1150 નમૂનામાંથી 10 અને બેક્ટેરિયોલોજીકલ 55 નમૂનામાંથી 1 નમૂનો ફેઈલ થયો છે. * ઈસ્ટ ઝોન: બેક્ટેરિયોલોજીકલ 42 નમૂનામાંથી 10 નમૂના ફેઈલ જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, કુલ મળીને મનપાના પાણી વિતરણ વ્યવસ્થાના 37 નમૂનાઓ પીવા માટે અયોગ્ય સાબિત થયા છે. જોકે, તમામ ઝોનમાં કેમિકલ પેરામીટરના નમૂનાઓ પાસ થયા છે તે એક રાહતના સમાચાર છે. છતાં આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે ઉનાળા દરમિયાન પાણી ઉકાળીને પીવું અને શંકાસ્પદ જગ્યાએથી બરફ કે પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે જેથી પાણીજન્ય રોગચાળાને પ્રસરતો અટકાવી શકાય.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને પરિવહનની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન માર્ચ 2026 દરમિયાન કુલ 10 ટ્રીપ્સ મારશે, જેનાથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે. ટ્રેનનું શિડ્યુલ અને સમયપત્રક ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ 2 માર્ચ, 2026 થી 30 માર્ચ, 2026 સુધી દર સોમવારે રાજકોટથી 22:30 કલાકે ઉપડશે અને બુધવારે 05:15 કલાકે લાલકુઆં પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ 1 માર્ચ, 2026 થી 29 માર્ચ, 2026 સુધી દર રવિવારે લાલકુઆંથી 12:35 કલાકે ઉપડી બીજા દિવસે 18:10 કલાકે રાજકોટ પહોંચશે. મહત્વના સ્ટોપેજ અને કોચની વિગત આ સ્પેશિયલ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ભીલડી, જોધપુર, જયપુર, મથુરા અને બરેલી સહિતના મહત્વના સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ AC, થર્ડ AC, સેકન્ડ સ્લીપર અને જનરલ ક્લાસના કોચ જોડવામાં આવશે.આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુચમન સિટી, નાવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, સોરોન શુકર, બદાયું, બરેલી, બરેલી સિટી, ઇજ્જતનગર, ભોજીપુરા, બહેરી અને કિચ્છા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકંડ એસી, થર્ડ એસી, સેકંડ સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે. બુકિંગ અંગેની માહિતી ટ્રેન નંબર 05046 માટેનું બુકિંગ 13 ફેબ્રુઆરી, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનના સ્ટોપેજ અને સમયની વિસ્તૃત વિગતો માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટમાં બોર્ડના વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 'જીત જાયેંગે હમ' શીર્ષક હેઠળ પરિક્ષાર્થી પ્રેરણા મહોત્સવ યોજાયો હતો. જેમાં 2200 વિદ્યાર્થીઓને અપૂર્વમૂની સ્વામીએ મોટીવેશનલ સ્પીચ આપી હતી, જેમાં અલગ-અલગ ક્ષેત્રના સફળ વ્યક્તિઓના ઉદાહરણો ટાંકવામાં આવ્યા. 'તમે લોકેશન મોકલો અમે સીધી મિસાઈલ મોકલી દઈશું'આ દરમિયાન તેમણે ભારતને વિશ્વનો શક્તિશાળી દેશ બનાવવા માટેની વાત કરી પરંતુ, તે પાનના ગલ્લે જવાથી નહીં થાય તેવી ટકોર પણ કરી. આ સાથે જ ભારત ઉત્તર પ્રદેશ કરતા પણ ઓછી વસ્તી ધરાવતા જાપાન દેશ પાસેથી બુલેટ ટ્રેન ખરીદશે અને આપણે ખાલી ડબ્બા બનાવવાના તેવો વસવાસો વ્યક્ત કર્યો હતો તો પાકિસ્તાન પરના ભારતના ઓપરેશન સિંદૂર અંગે રમુજ કરતા કહ્યું કે, પાકિસ્તાન વાળાઓએ નરેન્દ્ર મોદીને ફોન કર્યો કે, અમારે બ્રહ્મોસ મિસાઈલ જોઈતી હોય તો કેટલા રૂપિયા થાય? તે સમયે મોદીએ કહ્યું- તમે લોકેશન મોકલો અમે સીધી મિસાઈલ મોકલી દઈશું. 12 કરોડની વસ્તીવાળો દેશ આપણને બુલેટ ટ્રેન આપશે અને આપણે ડબ્બા બનાવવાનાસ્વામીએ બોર્ડના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, આખા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કયો હોવો જોઈએ ? ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે ભારત દેશ. જે બાદ સ્વામીજીએ કહ્યું કે, ઇન્ડિયા મસ્ટ બી અ સુપર પાવર પરંતુ સુપર પાવર એ પાનના ગલ્લે જવાથી ન થાય. તેમણે કહ્યું ,કે ઇન્ડિયામાં એલન મસ્કનું સ્ટાર લિંક ઇન્ટરનેટ શરૂ થઈ જશે. આપણી ઇન્ટરનેટની કંપનીઓ બંધ થવા લાગી છે. BSNL વેન્ટિલેટર પર જીવે છે. એર ઇન્ડિયા ભારત સરકારે કરોડોની ખોટ સાથે ટાટાને પરત આપી દીધી. ભારત આટલો મોટો દેશ છે અને બુલેટ ટ્રેન જાપાન પાસેથી લેવાની. જે જાપાનની વસ્તી ઉત્તર પ્રદેશ કરતા પણ ઓછી છે. 12 કરોડની વસ્તીવાળો દેશ આપણને બુલેટ ટ્રેન આપશે અને આપણે ખાલી ડબ્બા બનાવવાના. ઓપરેશન સિંદૂર અંગે હળવા મૂડમાં ટીખળ કરીઆ દરમિયાન તેમણે પાકિસ્તાન પરના ભારતના ઓપરેશન સિંદૂર અંગે હળવા મૂડમાં કહ્યું કે, પાકિસ્તાન વાળાનો નરેન્દ્ર મોદીને ફોન આવ્યો કે અમારે તમારા જેવી બ્રહ્મોસ મિસાઈલ જોઈતી હોય તો કેટલા રૂપિયામાં મળે ? ત્યારે મોદીએ કહ્યું તમે અમારા પાડોશી દેશો જેથી રૂપિયા લેવાના ન હોય તમે લોકેશન આપો. અમે સીધી મોકલી દઈશું. 2200થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંરાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરના વોલેન્ટિયર પરેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, કોઠારી સ્વામી અને અપૂર્વમુની સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાર્થી પ્રેરણા મહોત્સવ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે આજે જીત જાયેંગે હમ શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો છે જેમાં વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે અપૂર્વમુની સ્વામી દ્વારા પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં 2200થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડર વિના જ્યારે પરીક્ષા આપે ત્યારે પરર્ફોર્મન્સ પણ ખૂબ જ સારું આપી શકીએ વિદ્યાર્થિની કૃણાલી વ્યાસે જણાવ્યુ હતુ કે, હું ધોરણ-12 સાયન્સમાં B ગ્રુપમાં છું. BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત જીત જાયેંગે હમ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી બનશે. અપૂર્વમુની સ્વામી ખૂબ જ મોટીવેશનલ સ્પીચ આપે છે. જેનાથી બોર્ડની એક્ઝામનો ડર હોય છે, તે શૂન્ય બરાબર થઈ જાય છે. ડર વિના જ્યારે પરીક્ષા આપે ત્યારે પરર્ફોર્મન્સ પણ ખૂબ જ સારું આપી શકીએ છીએ. બાયોલોજી હોવાથી NEETના રીઝલ્ટ ઉપર બધું આધારિત છે. જોકે હવે MBBS કર્યા બાદ આગળના સ્પેશ્યલાઈઝેશન અંગે વિચારીશ.
રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકવા માટે સરકાર 15 ફેબ્રુઆરીથી અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર મહાત્મા મંદિરથી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ‘અનાજ ATM’ શરૂ કરાવશે. સાથે જ ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ કરવામાં આવશે. મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશેહાલ સુધી લાભાર્થીઓ રેશનકાર્ડના આધારે દુકાન પરથી અનાજ મેળવતા હતા, પરંતુ હવે ATM જેવા મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશે. લાભાર્થીને તેના હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીન દ્વારા મળશે, જેથી તોલમાં ગેરરીતિ અથવા કાપકૂપની ફરિયાદો બંધ થશે. ભવિષ્યમાં 24x7 અનાજ ઉપલબ્ધ થાય તેવી પણ વ્યવસ્થા વિકસાવવામાં આવશે. બોગસ રેશનકાર્ડ અને ડુપ્લિકેશન પર કડક રોકસરકાર ‘ડિજિટલ કાર્ડ’ સિસ્ટમ અમલમાં મૂકી રહી છે. જેમાં લાભાર્થીને એક કાર્ડ આપવામાં આવશે તેના આધારે અનાજનું વિતરણ થશે. આથી બોગસ રેશનકાર્ડ અને ડુપ્લિકેશન પર કડક રોક લાગશે અને સાચા લાભાર્થી સુધી જ અનાજ પહોંચશે. દુકાનદારો દ્વારા કાળાબજારી અને ગેરરીતિઓ આચર્યાની ફરિયાદગુણવત્તા સુધારવા માટે હવે ચણા (ગ્રામ) અને તુવેર દાળ છૂટક આપવા બદલે સીલબંધ 1 કિલોના પેકિંગમાં આપવામાં આવશે. સરકારને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે દુકાનદારો દ્વારા ઓછું વજન આપવું, સ્ટોક નથી કહીને પરેશાન કરવા અથવા કાળાબજારી કરવી જેવી ગેરરીતિઓ થતી હતી. જે ગેરરીતિ અટકશે તેવું સરકાર દ્વારા માનવામાં આવી રહ્યું છે. રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરામાં પાયલોટ પ્રોજેક્ટનો અમલશરૂઆતના તબક્કે અમદાવાદના સાબરમતી વિધાનસભા વિસ્તારના રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરા વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ રૂપે અમલ થશે. પ્રયોગ સફળ રહેશે તો તબક્કાવાર સમગ્ર રાજ્યમાં ‘અનાજ ATM’ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને રેશન વ્યવસ્થામાં ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પારદર્શક અને સરળ રીતે અનાજ મળી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માનવતાએ મૃત્યુ પર વિજય મેળવ્યો છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અરદી ગામના વતની 45 વર્ષીય ગીરવતભાઇ સોઢા પરમારના અંગદાન થકી બે ગંભીર દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયું છે. 7 ફેબ્રુઆરીના રોજ નડિયાદ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગીરવતભાઇને માથામાં ગંભીર ઇજા થઈ હતી. નડિયાદ બાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડાયા હતા, જ્યાં 10 ફેબ્રુઆરી 2026ના રોજ તબીબોએ તેમને 'બ્રેઇન ડેડ' જાહેર કર્યા હતા. પરિવારની મક્કમતા અને ઉમદા કાર્ય પતિના અકાળે અવસાનથી પત્ની મંજુલાબેન અને પુત્ર રજનીકાંત ભાઈ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આમ છતાં, આ કપરા સમયે મંજુલાબેને અત્યંત માનસિક મક્કમતા દાખવી પોતાના સ્વજનના અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી મૃત્યુની રાહ જોતા બે લાચાર દર્દીઓના જીવનમાં આશાનો નવો કિરણ ફેલાયો છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે ગીરવતભાઇનું લીવર અને એક કિડની સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપિત કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના અંગદાનનો આંકડો 971 પર પહોંચ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ હવે એક વટવૃક્ષ બની ગઈ છે. હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં 228 બ્રેઇન ડેડ વ્યક્તિઓના પરિવારોએ અંગદાન કર્યું છે, જેના દ્વારા કુલ 754 અંગો પ્રાપ્ત થયા છે. જો આમાં 180 ચક્ષુ અને 37 ચામડી (કુલ 217 પેશીઓ) ઉમેરવામાં આવે, તો અત્યાર સુધીમાં કુલ 971 અંગો અને પેશીઓનું સફળ દાન મેળવવામાં આવ્યું છે. અત્યાર સુધીના દાનની વિગતો હોસ્પિટલના રેકોર્ડ અનુસાર, અત્યાર સુધીમાં સફળતાપૂર્વક મેળવાયેલા અંગોમાં 202 લીવર, 419 કિડની, 73 હૃદય, 34 ફેફસાં, 18 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 નાના આંતરડાંનો સમાવેશ થાય છે. ડો. રાકેશ જોશીએ ગીરવતભાઇના પરિવારના સાહસિક નિર્ણયની પ્રશંસા કરતા જણાવ્યું કે, આવા કિસ્સાઓ સમાજમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ લાવવા માટે મશાલ સમાન છે. ગીરવતભાઇના અંગો દ્વારા કોઈના શ્વાસ ફરી ચાલશે, તે જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.
દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી અંદાજે 50 કિલોગ્રામ ગેરકાયદેસર ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે સ્થાનિક રહેવાસી સલમાબેન ઇલિયાસ ભડેલા અને તેના પુત્ર વસીમ ઇલિયાસ ભડેલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, આવા તત્વો સામે સરકાર અને પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે. તપાસમાં મોટો ખુલાસોપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ખંભાળિયાના જાવેદ નામના શખ્સે ગૌવંશની ગેરકાયદેસર હત્યા કરી હતી. આ હત્યા બાદ તેણે માંસનો જથ્થો વેચાણ અર્થે દ્વારકાના આ માતા-પુત્રને પહોંચાડ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી જાવેદ સહિત ત્રણેય વિરુદ્ધ 'ધ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ' અને 'ભારતીય ન્યાય સંહિતા' (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં આ સમગ્ર મામલાની વધુ તપાસ PSI એન. એસ. ગોહિલ ચલાવી રહ્યા છે. શંકરાચાર્યની આકરી પ્રતિક્રિયાઆ ઘટનાને પગલે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પ્રકારની પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યું હતું કે, આવા તત્વો સામે સરકાર અને પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે. આરોપીઓના રહેઠાણની કાયદેસરતાની તપાસ કરવામાં આવે. તેમની ભારતીય નાગરિકતા અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે.આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. ધોરણ 10 - 12માં 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેરાજ્યમાં આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 10 ના 9,07,175 વિધાર્થીઓ,ધોરણ 12 સાયન્સના 1,19,263 વિધાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 15,27,724 વિધાર્થીઓ પરીક્ષા આપશે.ધોરણ 10માં 1006 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.ધોરણ 10માં 3243 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થી કરતા એક કલાક વધુ અપાશેઆ વર્ષે 5070 દિવ્યાંગ વિધાર્થીઓ પરીક્ષા આપશે.સામાન્ય રીતે અત્યાર સુધી પરીક્ષામાં 3 કલાકનો સમય આપવામાં આવે છે પરંતુ આ વર્ષથી પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે એટલે કે દિવ્યાંગ વિધાર્થીઓને 60 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો કડક કાર્યવાહી કરાશે
અમદાવાદની રોજગાર કચેરી અને ટાટા મોટર્સના સંયુક્ત ઉપક્રમે આગામી 12/02/2026ના રોજ સવારે 09:30 કલાકે ભવ્ય રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પાંજરાપોળ, આંબાવાડી સ્થિત સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે યોજાનારા આ મેળામાં શિક્ષિત યુવાનોને ઉદ્યોગ જગતમાં કારકિર્દી બનાવવાની તક મળશે. ટાટા મોટર્સ સાણંદ દ્વારા ભરતી આ ભરતી મેળામાં સાણંદ સ્થિત ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબીલીટી કંપની ઉપસ્થિત રહેશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની આ દિગ્ગજ કંપની દ્વારા 'ટ્રેઈની' ની પોસ્ટ માટે ઉમેદવારોના સ્થળ પર જ ઈન્ટરવ્યું લેવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલા યુવાનોને જાણીતી ઓટોમોબાઈલ કંપનીમાં કામ કરવાનો અનુભવ મળશે. શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવાની સાથે મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં 60% સાથે ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટાની નકલ સાથે નિયત સમયે હાજર રહેવા મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
સુરત શહેરમાં ગુનેગારો જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ દિવસે-દિવસે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. ફૂલપાડા અશ્વિનીકુમાર રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર બે ઠગબાજોને લોકોએ રંગેહાથ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. શું હતી સમગ્ર ઘટના?એક યુવક જ્યારે બેંક ઓફ બરોડામાં પોતાની રોકડ રકમ (અંદાજે 65,000) જમા કરાવવા માટે આવ્યા હતા, ત્યારે ત્યાં હાજર બે ઠગબાજોએ તેમને પોતાની વાતોની જાળમાં ફસાવ્યા હતા. ઠગબાજોએ નજર ચૂકવીને અસલી નોટો પડાવી લીધી હતી અને બદલામાં ભોગ બનનારને રૂમાલમાં વીંટાળેલી કાગળની થપ્પીઓનું બંડલ પધરાવી દઈ ત્યાંથી છૂમંતર થવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને સોંપતા પહેલા બરાબરનો 'મેથીપાક' ચખાડ્યોઠગબાજો રફુચક્કર થાય તે પહેલા જ ભોગ બનનારને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકો તરત જ સક્રિય થયા હતા અને ભાગતા બંને ઠગબાજોને ગૌશાળા પાસે આંતરીને પકડી પાડ્યા હતા.રોષે ભરાયેલા લોકોએ આ ઠગબાજોને પોલીસને સોંપતા પહેલા બરાબરનો 'મેથીપાક' ચખાડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો આ ગુનેગારોને મેથીપાક આપી રહ્યા છે. બે હાથ જોડીને બે હાથથી બંને ઠગબાજોને તમાચા માર્યાજ્યારે ઠગબાજો લોકો સામે બે હાથ જોડીને માફી માંગી રહ્યા છે. જોકે, રોષે ભરાયેલા લોકોએ સામે બે હાથ જોડીને બે હાથથી બંને ઠગબાજોને તમાચા માર્યા હતા. આ દ્રશ્યોએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બંને આરોપીઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈહાલ કતારગામ પોલીસ દ્વારા ભોગ બનનારની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ આરોપીઓ અગાઉ કોઈ આવી છેતરપિંડીમાં સામેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બેંક જેવી જાહેર જગ્યાઓએ અજાણ્યા વ્યક્તિઓ સાથે નાણાકીય વ્યવહાર ન કરવો અને સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.
ભાણવડ તાલુકાના સણખલા ગામે પાણી વાળવા બાબતે થયેલા ઝઘડામાં એક પરપ્રાંતીય પતિએ પોતાની પત્નીની હત્યા કરી છે. મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના અને હાલ પોરબંદરના સોઢાણા ગામે ખેતમજૂરી કરતા 32 વર્ષીય નંદરામ સોમા ગરવાલ નામના શખ્સે સોમવારે બપોરે આ કૃત્ય આચર્યું હતું. નંદરામ ગરવાલે તેની પત્ની રેખાબેન સાથે ઘઉંમાં પાણી વાળવા બાબતે બોલાચાલી કરી હતી. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા નંદરામે રેખાબેનના માથામાં લોખંડના પાવડાનો ઘા ઝીંક્યો હતો. આ ઉપરાંત, તેણે પત્નીને બેફામ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ગળાના ભાગે હુમલો કરી અથવા ગળું દબાવી તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ બનાવ અંગે અડવાણાના પ્રતાપભાઈ ભીખાભાઈ કોડીયાતર (ઉ.વ. 35) એ નંદરામ સોમા ગરવાલ વિરુદ્ધ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતા જ ડીવાયએસપી વી.પી. માનસેતા, ભાણવડ પી.આઈ. સી.એલ. દેસાઈ અને તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી નંદરામની અટકાયત કરી હતી. તપાસનીસ અધિકારી પી.આઈ. ચેતન દેસાઈ દ્વારા આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર અદાલતે આરોપી પતિ નંદરામ સોમા ગરવાલને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.
દાંતીવાડા યુનિવર્સિટીમાં વિશ્વ કઠોળ દિવસ ઉજવાયો:ખેડૂતોને તકનીકી માર્ગદર્શન, ફાર્મ મુલાકાત અપાઈ
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્ર દ્વારા ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ 'વિશ્વ કઠોળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ખેડૂતોને તકનીકી માર્ગદર્શન પૂરું પાડવા અને ફાર્મ મુલાકાત કરાવવાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કઠોળ સંશોધન કેન્દ્રના યુનિટ હેડ ડૉ. એમ.એસ. પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સહ-સંશોધન વૈજ્ઞાનિક ડૉ. અશોક ચૌધરીએ કેન્દ્રની સિદ્ધિઓ અને વર્તમાન સંશોધન કાર્યો વિશે વિગતવાર માહિતી આપી હતી. ટેકનિકલ સત્ર દરમિયાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ડૉ. બિંદુ પાનીકર, ડૉ. અનિરુદ્ધ ચટ્ટોપાધ્યાય, ડૉ. સલોની જોષી, ડૉ. દિગ્વિજયસિંહ પઢીયાર અને ડૉ. દિક્ષીતાબેન પટેલે કઠોળ પાકોની સુધારેલી જાતો, તેના પોષણમૂલ્ય, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને રોગ-જીવાત નિયંત્રણ અંગે વ્યાખ્યાનો આપ્યા હતા. આ પ્રસંગે ડૉ. દાનાભાઈ જાદવ અને ડૉ. હર્ષ પુરોહિતના માર્ગદર્શન હેઠળ તકનીકી સ્ટોલનું પ્રદર્શન ગોઠવાયું હતું. ડૉ. વર્ષાબેન પ્રજાપતિ અને નેહાબેન પટેલે ખેડૂતો માટે ફાર્મ મુલાકાતનું આયોજન કરી પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના સમાપન સમારોહમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ કુલપતિ ડૉ. આર.એમ. ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ અને સહ-સંશોધન નિયામક ડૉ. એન. એન. પ્રજાપતિ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને સંબોધતા મહાનુભાવોએ કઠોળના પાક દ્વારા જમીનની ફળદ્રુપતા અને આર્થિક સમૃદ્ધિ વધારવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમની આભારવિધિ ડૉ. સંયમ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવાનો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના છઠ્ઠા દિવસે 6 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. કુલ 680 વિદ્યાર્થીઓમાંથી 678 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 2 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 5 થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં કુલ 11 કેન્દ્રો પર આ પરીક્ષા ચાલી રહી છે. બુધવારે, છઠ્ઠા દિવસે, 6 કેન્દ્રો પર સવાર અને બપોરના બે સેશનમાં પરીક્ષા લેવાઈ હતી. વિષયવાર હાજરી જોઈએ તો, રસાયણ વિજ્ઞાનમાં 240 માંથી 239 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 1 વિદ્યાર્થી ગેરહાજર હતો. ભૌતિક વિજ્ઞાનમાં 240 માંથી 240 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જીવ વિજ્ઞાનમાં 200 માંથી 199 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયો હતો. આ ઉપરાંત, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2024માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 26 ફેબ્રુઆરી, 2024 થી 18 માર્ચ, 2024 દરમિયાન યોજાનારી આ પરીક્ષાઓ સંદર્ભે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેમની મૂંઝવણો દૂર થાય તે હેતુથી બોર્ડ દ્વારા ખાસ 'ટોલ-ફ્રી' હેલ્પલાઇન નંબર 1800 233 5500 કાર્યરત કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આ હેલ્પલાઇન સુવિધા 12 ફેબ્રુઆરી, 2024 થી શરૂ થઈને 18 માર્ચ, 2024 સુધી, દરરોજ સવારે 11:00 થી સાંજે 05:00 કલાક સુધી કાર્યરત રહેશે.
બોટાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ:ભાજપ દ્વારા પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
બોટાદ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરીને તેમને નમન કર્યું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, જિલ્લા મહામંત્રીઓ વનરાજભાઈ ડાભી અને વિજયભાઈ ધલવાણીયા, પૂર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા અને ચંદુભાઈ સાવલીયા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, હરેશભાઈ ધાંધલ તેમજ જીગ્નેશભાઈ બોળીયા સહિત ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
નવસારીના વિજલપોર વિસ્તારમાં રેલવે ટ્રેક ઓળંગી રહેલા એક અજાણ્યા યુવાનનું માલગાડીની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વિજલપોરના રામનગર અને આનંદનગર ગરનાળા પાસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. માલગાડીની ટક્કરે યુવાનનું પ્રાણપંખેરું ઉડ્યુંપ્રાપ્ત વિગતો અનુસાર, વિજલપોર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (માલગાડીના ટ્રેક) ઉપર આજે એક યુવાન અકસ્માતનો ભોગ બન્યો હતો. પુરપાટ ઝડપે આવતી માલગાડીની અડફેટે આવતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. રહેણાંક વિસ્તાર હોવાથી જોખમ વધ્યુંઉલ્લેખનીય છે કે, વિજલપોરના રામનગર વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન અને ફ્રેટ કોરિડોરની આજુબાજુ મોટા પ્રમાણમાં રહેણાંક મકાનો આવેલા છે. સ્થાનિક રહીશો વારંવાર કુદરતી હાજતે જવા માટે અથવા અન્ય કામો માટે આ રેલવે લાઇન ઓળંગતા હોય છે. રેલવે ટ્રેક પરથી અવરજવરને કારણે છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. પોલીસ તપાસ ચાલુરેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક યુવાન ક્યાંનો રહેવાસી હતો અને તેનું નામ શું છે તે જાણવા માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં પણ સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.
પાટણ B ડિવિઝન પોલીસે ઓવરલોડ અને બેફામ ગતિએ દોડતા 16થી વધુ ડમ્પરોને ડિટેઇન કર્યા છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતોની વધતી ઘટનાઓને રોકવા માટે પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં બેફામ ડમ્પરોને કારણે અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પાટણ B ડિવિઝન પોલીસે અકસ્માત નિવારણ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી. પોલીસ ટીમો દ્વારા શહેરના વિવિધ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ક્ષમતા કરતાં વધુ માલસામાન ભરીને પસાર થતા 16થી વધુ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ ડમ્પરો પાસે જરૂરી દસ્તાવેજો અને ઓવરલોડ અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમને પોલીસ મથકે લાવી ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે ડમ્પર માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોટી સંખ્યામાં ડમ્પરો પકડાતા B ડિવિઝન પોલીસ મથક પરિસરમાં ડમ્પરોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસ વિભાગે જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અને નાગરિકોના જીવ જોખમમાં મૂકતા વાહનચાલકો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. હાલમાં, ડિટેઇન કરાયેલા તમામ ડમ્પરો સામે આરટીઓ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નવસારી મનપાનું બીજું બજેટ 22-23 ફેબ્રુઆરીએ:શહેર વિકાસ માટે ₹1100 કરોડ ફાળવાશે, 18 સૂચનોનો સમાવેશ
નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ આગામી 22 અને 23 ફેબ્રુઆરી દરમિયાન જાહેર કરવામાં આવશે. મહાનગરપાલિકા બન્યા બાદ આ બીજું બજેટ છે, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અંદાજે 1100 કરોડ રૂપિયાની ફાળવણી થવાની શક્યતા છે. આ બજેટ નવસારીના ટાઉન હોલ ખાતે વિશેષ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વખતે વિકાસ કામોની ગતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. બજેટ તૈયાર કરતા પહેલા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો પાસેથી મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા. જેમાં બુદ્ધિજીવીઓ અને જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઇમેલ દ્વારા કુલ 18 રચનાત્મક સૂચનો મોકલ્યા હતા. તંત્ર આ સૂચનોનો અભ્યાસ કરી તેને બજેટમાં સ્થાન આપવા અંગે વિચારણા કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બજેટમાં ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો, પીવાના પાણીની સુવિધા અને સ્ટ્રીટ લાઈટ જેવા પાયાના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ ઉપરાંત, શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોના સુશોભીકરણ (બ્યુટીફિકેશન) માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવશે. મહાનગરપાલિકાના દરજ્જા મુજબ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે આ બજેટ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. લાખો શ્રદ્ધાળુઓના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન અપાયું હતું. પર્વ દરમિયાન શ્રદ્ધાળુઓને સુવિધાસભર, સુરક્ષિત અને સુવ્યવસ્થિત અનુભવ મળે તે માટે કોઈ પણ પ્રકારની ખામી ન રહે તેની ખાતરી કરવા સૂચના અપાઈ હતી. કલેક્ટરે સુરક્ષા વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. પોલીસ તંત્રને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઈ હતી. ટ્રાફિક નિયંત્રણ માટે વૈકલ્પિક માર્ગો, પાર્કિંગ ઝોન અને ભીડ નિયંત્રણ માટે બેરિકેડિંગની વ્યવસ્થા ગોઠવવા પર ભાર મુકાયો. લાંબી કતારોમાં ઉભેલા શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપવા માટે સૂચક પટ અને સ્વયંસેવકોની તૈનાતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ અને ડોક્ટર-પેરામેડિકલ સ્ટાફ તૈનાત રાખવા સૂચના અપાઈ છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન, કચરો ઉપાડવાની નિયમિત વ્યવસ્થા અને શુદ્ધ પીવાના પાણીની સુલભતા સુનિશ્ચિત કરાશે. અગ્નિશામક દળને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત રાખવા અને પીજીવીસીએલ વિભાગને અવિરત વીજ પુરવઠા માટે તૈયારી રાખવા નિર્દેશ અપાયા હતા. કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવાની સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, મહાશિવરાત્રી પર્વ ગીર-સોમનાથ જિલ્લાના ગૌરવ સાથે જોડાયેલો પ્રસંગ છે. શ્રદ્ધાળુઓને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને આધ્યાત્મિક અનુભવ મળે તે માટે તંત્ર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
સુરતમાં શહેરમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મહેસાણામાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ યુવકે તેને સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલ એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેને લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં યુવક તેની સાથેનો બિભત્સ વીડિયો ઉતારી પલાયન થઈ રહ્યો હતો. જોકે બાદમાં યુવકે તેની સાથે સંબંધ તોડી નાખી આ વીડિયોને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ મારફતે વાયરલ કરી દીધો હતો. જેથી ભોગ બનનાર મહિલાએ આ મામલે મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપીની મહેસાણાથી ધરપકડ કરી છે. સુરત રેલવે સ્ટેશન પાસેથી હોટલમાં દુષ્કર્મ આચર્યું હતુંમળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં યુવતી એકલી રહેતી હતી. આ દરમિયાન ત્રણ વર્ષ પહેલા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ મારફતે તેમની મિત્રતા મહેસાણા જિલ્લાના નંદાસણ તાલુકામાં આવેલ કૈયાર ગામમાં રહેતા કરણ નરેશભાઈ દંતાણી સાથે થઈ હતી. તેમની સાથે મિત્રતા થયા બાદ કરણ દંતાણીઓ તેમને લગ્નની લાલચ આપી હતી. જેથી મહિલા તેમની વાતોમાં આવી ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી કરણ દંતાણીએ સુરત રેલ્વે સ્ટેશનને આવ્યો હતો. સુરત આવેલા કરણે મહિલાને મળવા માટે બોલાવી હતી. મહિલા મળવા માટે જતા કરણ દંતાણી તે જે હોટલમાં રોકાયો હતો ત્યાં લઈ ગયો હતો. ત્યારબાદ તેમની સાથે લગ્ન કરવાની ખાતરી આપી શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજાર્યો હતો અને તેમની સાથેનો બિભત્સ વીડિયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ કરણ દંતાણીએ મહિલા સાથે સંબંધ તોડી નાખ્યો હતો. યુવતીએ સંબંધ તોડી નાખતા અંગતપળનો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં વાયરલ કરી દીધોગત 3 ફેબ્રુઆરીના રોજ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં વાયરલ કરી મહિલાને બદનામ કરી હતી. જેથી આખરે તેમણે આ મામલે મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ દંતાણી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી મહેસાણા ખાતે હોવાની જાણ થતા સુરત પોલીસ પહોંચી હતી અને આરોપી કરણ દંતાણીને પકડીને સુરત લઈ આવી હતી. હાલ તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બોટાદ જિલ્લાના જોટીગડાથી સાલેયા સહિત 15 ગામોને જોડતો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ ખરાબ રસ્તાને કારણે વાહનચાલકો અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં હવે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ માર્ગ જોટીગડા, સાલેયા, ધુરુફણીયા, દેરાળા, સખપર, હોળાયા, ભડલી સહિત 15 જેટલા ગામોને જોડે છે. આ રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે, કપચી બહાર આવી ગઈ છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે અને નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે. આ વિસ્તારના આગેવાનો અને ગ્રામજનોએ બોટાદ કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી અનેકવાર રજૂઆતો કરી છે. જોકે, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી આઠ દિવસમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ગામના આગેવાન જે. બી. પટેલે આ રસ્તાની ખરાબ હાલત અને ગ્રામજનોની માંગણીઓ અંગે માહિતી આપી હતી. હવે જોવું રહ્યું કે તંત્ર સમયસર જાગૃત થાય છે કે પછી લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે.
બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા નિરમા લિમિટેડ (યુનિટ સૌરાષ્ટ્ર કેમિકલ્સ) ના આર્થિક સહયોગથી અને પોરબંદર વન વિભાગના સહયોગથી પોરબંદરમાં સતત પાંચમાં વર્ષે પક્ષી ગણતરી 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 31 જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી આ ગણતરીમાં જળચર પક્ષીઓ અને અન્ય પ્રજાતિઓની સ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો હતો. દેશભરમાંથી પક્ષી પ્રેમીઓનો ઉત્સાહઆ વર્ષની પક્ષી ગણતરીમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી પક્ષીપ્રેમીઓએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાંથી અંદાજિત 100 જેટલા પક્ષી પ્રેમીઓ પોરબંદર આવ્યા હતા. આ તમામ ભાગીદારોને 26 જેટલી વિવિધ ટીમોમાં વહેંચીને જિલ્લાના અલગ-અલગ જલપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરીની કામગીરી સોંપવામાં આવી હતી. ગણતરીના મુખ્ય આંકડાઓપક્ષી ગણતરીના ડેટા મુજબ, પોરબંદરમાં કુલ 4,05,702 પક્ષીઓ નોંધાયા હતા, જેમાંથી 3,22,654 જળચર પક્ષીઓ (Waterbirds) હતા. આ ઉપરાંત, ગણતરી દરમિયાન પક્ષીઓની 249 અલગ-અલગ પ્રજાતિઓ જોવા મળી હતી. મુખ્ય ગણતરીના ડેટા સૌથી વધુ પક્ષીઓ: મોકાર સાગર વિસ્તારમાં 50,144 બતક અને હંસ (Ducks and Geese) નોંધાયા હતા.કુલ પક્ષીઓ: સૌથી વધુ પક્ષીઓની સંખ્યા મોકાર સાગર (1,59,805) અને બરડાસાગર ડેમ (83,641) વિસ્તારમાં જોવા મળી હતી.પ્રજાતિઓ: વિવિધ વિસ્તારોમાં પક્ષીઓની પ્રજાતિઓમાં વિવિધતા જોવા મળી હતી, જેમાં સૌથી વધુ પ્રજાતિઓ બરડાસાગર ડેમ (147) અને મોકાર સાગર (142) માં નોંધાઈ હતી.આ શૈક્ષણિક અને સંરક્ષણલક્ષી પ્રયાસમાં વન વિભાગ અને બર્ડ કંઝરવેશન સોસાયટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર તસ્કરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે.આરૂષ આઇકોન ફ્લેટમાં રહેતા અને ખાનગી કંપનીમાં એડમિન તરીકે ફરજ બજાવતા યુવક પોતાની પત્ની સાથે રાત્રિના સમયે મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.ત્યારે બજાજ પલ્સર બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગળામાંથી રૂ. 70 હજારની કિંમતનો સોનાનો દોરો ઝુંટવીને રફુચક્કર થઈ ગયા હતા. વોકિંગ માટે નીકળેલા દંપતીને ચેન સ્નેચરોએ નિશાન બનાવ્યુંમહેસાણાના રાધનપુર રોડ પર આવેલા આરૂષ આઇકોન ફ્લેટમાં રહેતા અમરભાઈ શૈલેષભાઈ ભાવસાર ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે તેમની પત્ની મોનિકાબેન સાથે જમીને ચાલવા નીકળ્યા હતા. દંપતી ચાલતા ચાલતા કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા ગયું હતું. દર્શન કરીને પરત ફરતી વખતે રાત્રે દસેક વાગ્યાના અરસામાં આરૂષ આઇકોન પાસે આવેલા સાઉથર્ન ઢોસાની સામેના રોડ પર પાંચોટ બાયપાસ તરફથી એક પલ્સર બાઈક પર બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. બાઈક સવારોએ અમરભાઈના ગળામાં પહેરેલો સાડા ત્રણ તોલાનો સોનાનો દોરો કિંમત આશરે રૂ. 70,000 પળવારમાં ખેંચી લીધો હતો. આંચકો મારી દોરો તોડીને બંને શખ્સો મહેસાણા રાધનપુર ચોકડી તરફ બાઈક ભગાવી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી દંપતી સ્તબ્ધ થઈ ગયું હતું. જોકે જે-તે સમયે પોલીસને મૌખિક જાણ કર્યા બાદ આજે અમરભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા બાઈક સવારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ થી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર (આત્મચિંતન ભવન) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 90,000 રત્નોથી સુશોભિત હીરાના શિવલિંગની પ્રતિકૃતિ ભક્તો માટે મુખ્ય આકર્ષણ રહેશે. 12 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યે રાજ્યોગિની બી.કે. ડો. અરુણા દીદી અને મહાનુભાવોના હસ્તે 'વિશ્વ પરિવર્તન મહાકુંભ જ્ઞાન મેળા'નો પ્રારંભ થશે. 90મી શિવજયંતિ નિમિત્તે 90 દીપ પ્રાગટ્ય અને શિવધ્વજ રોહણ કરવામાં આવશે. ધાર્મિક અને આધ્યાત્મિક આકર્ષણો મહોત્સવ દરમિયાન ભાવિકોને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન, અમરનાથ દર્શન, શિવશંકરની જીવંત ઝાંખી અને ચૈતન્ય દેવીઓના દર્શનનો લ્હાવો મળશે. વિશેષરૂપે અહીં ‘પરમાત્મ અનુભૂતિ કક્ષ’, માઇન્ડ સ્પા અને જીવન મૂલ્ય પ્રદર્શનીનું પણ આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓ માટે “શિક્ષણમાં નવી દિશા” અને વ્યસનમુક્તિ અંગેના પ્રદર્શનો પણ યોજાશે. દર્શન અને આરતીનો સમય આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી દર્શનાર્થીઓ મુલાકાત લઈ શકશે. દરરોજ સાંજે 7 વાગ્યે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરામાં શિવમંગલ સ્તોત્ર અને જલાભિષેક સાથે ભક્તિમય માહોલ સર્જાયો છે.
ઈન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ખાનગી કંપનીના એક મેનેજરે શેરબજારમાં રોકાણ કરીને શરૂ વળતર મેળવવાની લાલચમાં 19.86 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે તેઓએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 1 ઓક્ટોબરે મારા ટેલિગ્રામ ઉપર મેસેજ આવતા મેં રિપ્લાય કર્યો હતો. જેથી સામે રચના સુભ્રમણ્યમે રીપ્લાય આપી વાતચીત કરી હતી. રચનાના નામે વાત કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે અમે તમારી કંપનીમાં આવ્યા ત્યારે તમે એન્ટ્રી આપવામાં મદદરૂપ થયા હતા. ત્યારબાદ તેણે શેર માર્કેટ કે ફોરેક્સમાં ટ્રેડિંગ કરો છો કે કેમ તેમ પૂછ્યું હતું. મેં કહ્યું હતું કે, હું થોડું ઘણું રોકાણ કરતો હતો. જેથી રચના એ મને ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો લાભ મળશે તેમ કહી એક લિંક મોકલી હતી. જે ઓપન કરતા એક પેજ ખુલ્યું હતું અને તેમાં ફોરેસ્ટ ટ્રેડિંગમાં દેખાતી હોય તેવી જ સાઇટ દેખાતી હતી. ત્યારબાદ મેં મારા ફોટા આઈડી સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ મેં 21 હજાર રૂપિયાનું રોકાણ કરતા મને બે તબક્કામાં કુલ 14 હજાર રૂપિયા ઉપાડવા દીધા હતા. જેથી મને વિશ્વાસ આવતા મેં વધુને વધુ રોકાણ કર્યું હતું. મારા એકાઉન્ટમાં 29.21 લાખનો પ્રોફિટ દેખાતો હતો. પરંતુ આ રક્મ ઉપાડવાની બદલે વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી મને શંકા ગઈ હતી. સાયબર સેલને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
કલોલના સઈજ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી સ્ટીલોય રોલિંગ મિલ્સમાંથી ₹2.52 લાખના પિત્તળના મશીનરી પાર્ટ્સ અને બેરિંગની ચોરી થઈ છે. આ મામલે કંપનીના જ એક કર્મચારી વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ મથકે વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટીલોય રોલિંગ મિલ્સના માલિક રીતેશભાઈ રજનીકાંત શાહે કલોલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ગત 26 ડિસેમ્બરે તેઓ કંપનીએ આવ્યા હતા અને બીજા દિવસે સવારે ઓફિસ પહોંચતા ગનમેટલના પિત્તળના કિંમતી મશીનરી પાર્ટ્સ ગાયબ જણાયા હતા. પ્રાથમિક તપાસમાં 24 કિલો પિત્તળના પાર્ટ્સ અને 25 કિલો બેરિંગની જાળીઓ સહિત કુલ ₹2,52,500નો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું છે. ચોરીની શંકા જતાં રીતેશભાઈએ મેનેજરની હાજરીમાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં તેમની જ કંપનીમાં કાર્યરત મર્મક રાજકુમાર પટેલ (રહે. મથુરીયા સોસાયટી, કલોલ) રાત્રિના આશરે નવ વાગ્યે ચોરી કરીને સામાન લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. માલિક દ્વારા પૂછપરછ કરવામાં આવતા મર્મકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ટૂંક સમયમાં નોકરી છોડીને ફરાર થઈ ગયો હતો. ચોરી કર્યા બાદ મર્મક પોતાના ઘરે પણ જતો ન હતો અને પોલીસથી બચવા નાસતો ફરતો હતો. જોકે, રીતેશભાઈએ પોતાની રીતે તપાસ ચાલુ રાખી હતી. દરમિયાન તેમને જાણ થઈ કે મર્મક હાલ જી.આઈ.ડી.સી.ની સામે આવેલી 'જે.પી. સ્ટીલ રોલિંગ મીલ'માં નોકરીએ લાગ્યો છે. આ માહિતી મળતા જ રીતેશભાઈએ કલોલ તાલુકા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આરોપી મર્મક પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં માધાપર ચોક નજીક ગત 27 જાન્યુઆરીના રોજ MRFના શો-રૂમ પાસેથી જીવિત નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. નવજાત બાળક મળ્યું હોવાની જાણ કરતા 108ની ટીમે તેને સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડયું હતું અને બાદમાં ગાંધીગ્રામ પોલીસે બાળક ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દૂષ્કર્મના કારણે સગર્ભા બનેલી 15 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ ત્યજી દીધાનું સામે આવ્યું છે. હાલ દ્વારકા પોલીસે મૂળ દાહોદ ગરબાડાના શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાએ શેઠનગરમાં રહેતાં ચેતનભાઈ રાયધનભાઈ જીલરીયાની ફરિયાદ પરથી નવજાત બાળકની માતા અને તપાસમાં ખુલે તેના વિરૂદ્ધ બાળકને અસુરક્ષિત રીતે ત્યજી દેવાનો ગુનો નોંધ્યો હતો. બાળકનો રડવાનો અવાજ સાંભળી લોકોનું ટોળુ વળ્યુંઆ ફરિયાદમાં ચેતનભાઇએ જણાવ્યુ઼ હતું કે, હું જામનગર રોડ પર સંતોષીનગર ખાતે ચા-પાણી પીતો હતા ત્યારે સંતોષીનગરની સામે રેલવે પટમાં ઝુંપડપડ્ડી પાસે માણસો ભેગા થયેલ હતા. અહીં રડવાનો અવાજ આવતા માણસો ભેગા થયા હતા. ત્યાં જઈને જોયું તો તાજુ જન્મેલ પુરૂષ બાળક સફેદ જેવી ચાદરમા વીંટાળેલુ હતું, જેને 108માં ઝનાના હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બાળકનો જન્મ ત્યજી દીધાના દિવસે જ થયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. દ્વારકામાં 10 મહિના પહેલા મજૂરી કરવા ગઈ ત્યારે અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યુંઆ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ ટીમે હાથ ધરી CCTV ચેક કરવા ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી હતી. આ તપાસ દરમિયાન આ બાળકને ત્યજી દેનાર જનેતા સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં આ જનેતા 15 વર્ષની સગીરા હોવાનું સામે આવ્યું છે અને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, અગાઉ દેવભુમિ દ્વારકા પંથકમાં 10 મહિના પહેલા મજુરી કરવા ગઇ હતી ત્યારે મૂળ દાહોદ ગરબાડાના અનિલ રમેશભાઇ ભુરીયા નામના શખ્સે તેની સાથે બળજબરી આચરી શરીર સંબંધ બાંધી લીધો હતો, જેના કારણે ગર્ભ રહી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, બાળકનો જન્મ રાજકોટ ખાતે 27 જાન્યુઆરીના રોજ સવારે થયો હતો અને આબરૂ જવાની બીકે એ જ દિવસે ત્યજી દીધુ હતું. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ જન્મ આપેલુ બાળક હાલ સારવાર હેઠળ છે અને ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર સગીરાના માતાની ફરિયાદ પરથી અનિલ ભુરીયા વિરૂદ્ધ ઝીરો નંબરથી દુષ્કર્મ પોક્સો હેઠળ ગુનો નોંધી ફરિયાદ દ્વારકા પોલીસને મોકલી આપી છે.
સુરત શહેરમાં રખડતા કૂતરાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરતના ઉન વિસ્તારમાં ફરી એકવાર કૂતરાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 2 વર્ષીય માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયા છે, જે જોતા જ રુંવાડા ઉભા થઈ જાય તેમ છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી અનુસાર, ઉન વિસ્તારમાં આવેલી નૂર રેસીડેન્સીમાં અયાત નામની 2 વર્ષીય બાળકી તેના પરિવાર સાથે રહે છે. અયાતના પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે જ્યારે અયાત પોતાની સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી, ત્યારે અચાનક આ ઘટના બની હતી. બાળકી રમતા-રમતા ગેટની થોડી બહાર નીકળી કે તરત જ ત્રણ જેટલા રખડતા શ્વાન તેની તરફ ધસી આવ્યા હતા. બાળકી કઈ સમજે તે પહેલા જ એક શ્વાને તેના પર હુમલો કરી સાથળના ભાગે ગંભીર બચકું ભરી લીધું હતું. બાળકીના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવતા કૂતરા ત્યાંથી ભાગી ગયા હતા. લોકો બાળકીને તાત્કાલિક તેના પરિવાર પાસે લઈ ગયા હતા. ગભરાયેલા પરિવારે સમય સૂચકતા વાપરી બાળકીને નજીકની હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તબીબોએ તેને એન્ટી રેબિસની રસી આપી પ્રાથમિક સારવાર કરી હતી. સદનસીબે બાળકીની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં 6 દિવસ પહેલા સાડા ત્રણ વર્ષના બાળક પર 5 કૂતરા તૂટી પડ્યાં હતાસુરત શહેરમાં વધુ એક વખત શ્વાનનો આતંક જોવા મળ્યો છે. વાલક પાટિયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે જ રમી રહેલા બાળક પર શ્વાનો તૂટી પડ્યા હતા અને શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા. એક કુતરા પાછળ રૂ. 1268નો ખર્ચ કર્યો, છતાં પણ પરિણામ શૂન્ય શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખી પાલિકાએ કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ માટે રસીકરણ અને ખસીકરણ કરવા માટે એજન્સીઓને કામગીરી સોંપી હતી. જેના અંતર્ગત પાલિકાએ ત્રણ વર્ષમાં 5.58 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. બે એજન્સીઓ દ્વારા 44 હજારથી વધુ કૂતરાઓનું રસીકરણ-ખસીકરણ કરવામાં આવ્યું છે. પાલિકાએ એક કુતરા પાછળ 1268 રૂપિયાનો ખર્ચ કર્યો છે. સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલ સુરત શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે. આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે. આ સમાચાર પણ વાંચોઃરખડતા શ્વાને ઓચિંતા આવી બાળકના પગે બચકું ભર્યું, CCTV વડોદરાના ગોરવા રિફાઇનરી રોડ પર આવેલી સહયોગ સોસાયટીમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે, જ્યાં સ્કૂલે જઈ રહેલા માસૂમ બાળક પર એકસાથે ચાર શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ભયાનક ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે બાળક બચવા માટે ભાગે છે, પરંતુ શ્વાનો તેને નીચે પાડી દઈ બચકાં ભરે છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, CCTV શહેરના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
અમદાવાદના DCB પોલીસ મથકે ઓગસ્ટ, 2019માં અમદાવાદના જમાલપુરમાં રહેતા બે આરોપી અબ્દુલ ઈમરાન શેખ અને નૌમાન શેખ તેમજ ઓરિસ્સાના સુનિલ મલિક અને સુશાંત બિસ્વાલ સામે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી.રાજપૂતે દસ્તાવેજી પુરાવા અને સાહેદો ચકાસી, સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો ધ્યાને લઈને આરોપીઓને 15 વર્ષ કેદની સજા ફટકારી છે. 9.22 લાખની કિંમતનો કુલ 30.75 કિલો ગાંજો ઝડપાયોકેસને વિગતે જોતા પોલીસે આરોપીઓને અમદાવાદના રોપડા વટવા રોડ ઉપરથી ગાડી સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ગાંજો સુરતથી અમદાવાદ લાવી રહ્યા હતા. તેમની ગાડી ચેક કરતા 9.22 લાખની કિંમતનો કુલ 30.75 કિલો ગાંજો ઝડપાયો હતો. 15 વર્ષની કેદ ઉપરાંત આરોપીઓને વ્યક્તિગત 2 લાખનો દંડ ફટકાર્યો હતોબાદમાં આરોપીઓને સાથે રાખીને તપાસ કરતા સુરતના માંગરોળ ખાતેના ગોડાઉનમાંથી 99.60 લાખની કિંમતનો 332 કિલો ગાંજો ઝડપાયો હતો. આરોપીઓ આ ગાંજો ઓરિસ્સાથી લાવ્યા હતા અને સુરતમાં સંગ્રહ કર્યો હતો. અમદાવાદમાં તેઓ ઝડપાતા અહીંની કોર્ટે 15 વર્ષની કેદ ઉપરાંત આરોપીઓને વ્યક્તિગત 2 લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ ખાતે યુનિયન બજેટ 2026 ટોક @કેમ્પસ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર વર્ષ 2026-27 માટે જાહેર થનાર બજેટને અનુલક્ષીને યોજાયો હતો. જેમાં APMC-પાટણના ચેરમેન સ્નેહલ પટેલ, કુલપતિ ડો. કે. સી. પોરિયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીમ્મીભાઈ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એસ. કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના કો-ઓર્ડિનેટર ડો. અશ્વિન મોદીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. એસ. કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના પ્રોફેસર અને વડા ડો. નિશીથ ભટ્ટે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કુલપતિ ડો. કે. સી. પોરિયાએ બજેટ સંબંધિત માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્નેહલ પટેલે સરળ ભાષામાં બજેટનું દેશના વિકાસ માટેનું મહત્વ અને ભવિષ્ય પર તેની સંભવિત અસરો સમજાવી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીમ્મી મોદીએ વર્તમાન બજેટ ભારતના વિકાસ માટે કેટલું મહત્વપૂર્ણ છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે નવા ઉદ્યોગોના સ્ટાર્ટઅપને લગતી માહિતી પણ વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ બજેટને લગતા પ્રશ્નો પૂછ્યા હતા, જેનાથી તજજ્ઞો પ્રભાવિત થયા હતા. આ સેમિનારનું સંચાલન ડો. પાર્થ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારને સફળ બનાવવા માટે વિભાગના સ્ટાફે સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો.
વલસાડ રૂરલ પોલીસે સરોધી ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર નાકાબંધી દરમિયાન રૂ. 11.40 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈ ટેમ્પો ચાલક વાહન મૂકીને ખેતરોમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી સુરત તરફ જઈ રહેલા એક ટેમ્પોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ટેમ્પોની તપાસ કરતા તેમાંથી બાથરૂમ સેટ અને પૂંઠાના બોક્સની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ ઇન્ચાર્જ SP ટી સંદીપના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ PI એસ એન ગડ્ડુંના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દમણથી સુરત તરફ જઈ રહેલા ટેમ્પો (MH-24-AU-0014) ને રોકવાનો ઈશારો કરતા ચાલકે ટેમ્પો રસ્તાની સાઈડમાં ઉભો રાખી, તાત્કાલિક નીચે ઉતરી ડિવાઈડર કૂદીને ખેતરોમાં ભાગી ગયો હતો. પોલીસે પીછો કર્યો પરંતુ તે ઝાડીઓનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પોની તલાશી લેતા ઉપરના ભાગે પ્લાસ્ટિકના બાથરૂમ સેટના બોક્સ હતા, પરંતુ તેની નીચે ગુપ્ત રીતે રાખેલા વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા. કુલ 6564 નંગ દારૂની બોટલો મળી હતી, જેની કિંમત ₹11,40,240 છે. આયશર ટેમ્પો (કિં. ₹5,00,000), એક મોબાઈલ અને બાથરૂમ સેટના બોક્સ સહિત કુલ ₹16,57,740 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરાર ટેમ્પો ચાલક તેમજ આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વિશ્વભરમાં મસાલાના હબ તરીકે જાણીતા ઊંઝામાં તાજેતરમાં APMC દ્વારા વેપારીઓ માટે આયોજિત 'માહિતી અને માર્ગદર્શન સેમિનાર-2026'માં નકલી જીરા અને ભેળસેળનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ સેમિનારમાં જિલ્લા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને APMC ચેરમેન દિનેશ પટેલના નિવેદનોએ ભારે ચર્ચા જગાવી છે. અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, ભેળસેળ કરનારા તત્વો સામે કાર્યવાહીમાં હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવશે નહીં. 'કોઈપણ રાજકારણીનો ભલામણ માટે ફોન આવશે તો પણ કસૂરવારોને નહીં છોડાય'સેમિનારને સંબોધતા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં ભેળસેળ અને ભ્રષ્ટાચાર એકમેક સાથે ભળી ગયા છે. જીરામાં ભૂસું, ગોળની રસી અને જોખમી કોટિંગ કરીને 10 ટન માલમાં 500 કિલો નકલી માલ ભેળવી દેવાની પદ્ધતિ સામે તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વેપારીઓને નૈતિકતાનો પાઠ ભણાવતા કહ્યું કે, ભલે ઓછું કમાઈ લો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો. જો તમે તમારા પોતાના બાળકોને આવું ભેળસેળિયું જીરું ન ખવડાવી શકતા હો તો આવો ધંધો કરવાનો તમને કોઈ અધિકાર નથી. વધુમાં જણાવ્યું કે, કદાચ સરકાર કે વિભાગથી બચી જશો પણ ઈશ્વરની નજરમાંથી નહીં બચો. હવે પછી કોઈપણ રાજકારણીનો ભલામણ માટે ફોન આવશે તો પણ કસૂરવારોને છોડવામાં આવશે નહીં. 'હવે કોઈ આવા પકડાશે તો જાહેર જનતાની વચ્ચે માલ સળગાવી દેવાશે'બીજી તરફ ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે જીરામાં વજન વધારવા માટે વપરાતા જોખમી ઓઈલના કારોબાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે, આવા ઓઈલનો સપ્લાય ક્યાંથી થાય છે તેનું મૂળ શોધી તેને અટકાવવું જોઈએ. ચેરમેને વેપારીઓની લાગણી વ્યક્ત કરતા અધિકારીઓ પર આક્ષેપ પણ કર્યો હતો કે, ઘણીવાર અધિકારીઓ પૈસા લઈને ભેળસેળ કરનારાઓને જવા દેતા હોય છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો આવા કોઈ તત્વો પકડાશે તો જાહેર જનતાની વચ્ચે તેમના માલને સળગાવી દેવામાં આવશે. ઊંઝાના માધવ એસ્ટેટમાંથી શંકાસ્પદ નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ જીરું બનાવતા એકમો વિરુદ્ધ લાલ આંખ કરી છે. ઊંઝાના માધવ એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીમાં બાતમીના આધારે ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે 7.44 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માધવ એસ્ટેટમાં આવેલી પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરીમાં બનાવટી જીરું તૈયાર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે લોકલ પોલીસની મદદ લઈ ટીમે ફેક્ટરી પર રેડ પાડી હતી. (વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)
પોરબંદરના ખોજાખાના વિસ્તારમાં એક અતિ જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલા કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી વૃદ્ધાનો સફળ બચાવ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ખોજાખાના વિસ્તારમાં આવેલું આ મકાન જૂની 'પાટુ-પીઠીયા' શૈલીનું હોવાથી અત્યંત જર્જરિત હાલતમાં હતું. આજે અચાનક જ આ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે ઘરમાં હાજર વૃદ્ધા ફસાઈ ગયા હતા. સ્લેબ તૂટવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાટમાળ હટાવી અત્યંત સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ફસાયેલા વૃદ્ધાને હેમખેમ બહાર કાઢી લીધા હતા. વૃદ્ધા સુરક્ષિત બહાર આવતા પરિવારજનો અને સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
આગામી મહાશિવરાત્રીના પાવન પર્વે આગામી તા. 15મીએ પ્રસ્થાન થનારી શિવજી કી સવારી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શહેરના એડિ.પોલીસ કમિ અને પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી. વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. શિવજી કી સવારીને લઈ જાહેરનામું બહાર પડાયુંઆગામી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી શિવજી કી સવારી શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 1.30 વાગ્યાના સુમારેથી રાતના 10 વાગ્યા સુધી શિવજી કી સવારી શિવ પરિવાર સાથે શહેરના રાજમાર્ગો પરથી પસાર થશે. આ વિશાળ શોભાયાત્રા દરમિયાન પોલીસ તંત્ર શહેરના દ્વારા જુદા જુદા વિસ્તારના 19 સ્થળોએ નો-પાર્કિંગ અને 34 જેટલા રોડ રસ્તા પર વાહન પાર્કિંગ માટે પ્રવેશબંધી ફરમાવાઇ છે. આયોજકો સાથે પોલીસ કમિશનરની બેઠકશિવજી કી સવારી શિવ પરિવારની શોભા યાત્રા નિમિત્તે તળાવમાં તૈયારીઓ શરૂ કરાય છે ત્યારે શહેર પોલીસ કમિશનર સાથે વિવિધ વિભાગના આયોજકોની પણ ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ટર એજન્સી કોઓર્ડીનેશન અને આયોજકો સાથે પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કલેકટર કચેરીના અધિકારીઓ, એસએસજી સ્ટાફ, ફાયર બ્રિગેડ, વીજ નિગમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજી બાજુ શિવજી કી સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન પણ આગામી રવિવારે અપાયું છે. આજે આ કાર્યક્રમને લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અરુણ મહેશ બાબુ અને એડી પોલીસ કમિશનર લીના પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ ઉપસ્થિત રહી નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે દેશના ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે ત્યારે પોલીસ વિભાગ પણ સજ્જ થઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કવાયત હાથ ધરી છે. આ કાર્યક્રમ બાબતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ વખતે યોજાનાર શિવજી કી સવારી કાર્યક્રમમાં હજારો લાખો લોકો ઉપસ્થિત રહેશે ત્યારે વહીવટી તંત્ર અને કોર્પોરેશન પોલીસ વિભાગ સાથે ચર્ચા વિચારણા અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ શિવજી કી સવારી શોભાયાત્રા દરમિયાન જૂના સ્ટ્રક્ચર, જમીન મિલકત શાખાની સૂચનાઓ, સાફ સફાઈ, લાઇટિંગ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે આ દરમ્યાન અહીંયા રૂટ પર આવતા દબાણો અંગે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે વડોદરા શહેર હેરીટેજ ઇમારતો હોવાથી કોર્પોરેશન દ્વારા હેરિટેજ ઇમારતો સહિત રૂટ પર લાઇટિંગ કરવામાં આવશે. આ સાથે સુરસાગર તળાવ ખાતે આરતી યોજવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમ્યાન ફાયરની ટીમ સાથે છ બોટ તળાવામાં સત્તત નજર રાખશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ, જેને ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે 11 મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના આદર્શો અને રાષ્ટ્રનિષ્ઠ સેવાઓને યાદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી સભ્ય ડૉ. આસવ પટેલે પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન, તેમના એકાત્મ માનવવાદના સિદ્ધાંતો અને દેશના વિકાસમાં તેમના યોગદાન પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પંડિતજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણાદાયક છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, શહેર પ્રમુખ જતીન શાહ સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘સમર્પણ દિવસ’ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ દ્વારા ભાજપના કાર્યકરોએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો સંકલ્પ લીધો હતો.
રાજકોટમાં સામાન્ય જનતા ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો તેમને ઈ-મેમો આપી નાણા ખંખેરવામાં આવે છે ત્યારે નંબર પ્લેટ વિનાના ગેરકાયદેસર ડમ્પર લોકોના જીવ લેવા યમદૂત બની ફરતા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ નેતાએ વીડિયો જાહેર કર્યો છે. માધાપર ચોકડી પાસેના આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રેતી ભરેલું ડમ્પર નંબર પ્લેટ વિનાનું છે અને બેફામ ઝડપે જઈ રહ્યું છે. આ પ્રકારના ડમ્પર ભ્રષ્ટ પોલીસ અને RTO તંત્રને દેખાતા નથી. ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા હપ્તાખોરી ચાલી રહી હોવાથી ડમ્પરો બેફામ દોડી રહ્યા છેગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને રાજકોટના આગેવાન ગાયત્રીબા વાઘેલા કારમાં જતા હોય છે ત્યારે માધાપર ચોકડી પાસે એક નંબર પ્લેટ વિનાનું રેતી ભરેલું ડમ્પર ચાલી રહ્યું હોવાનું દેખાતા વીડિયો બનાવે છે. જેમાં તેઓ જણાવે છે કે, શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા હપ્તાખોરી ચાલી રહી હોવાથી ડમ્પરો બેફામ બની દોડી રહ્યા છે. શું તેઓને આવા નંબર પ્લેટ વિનાના ડમ્પરો દેખાતા નથી? હપ્તા સિસ્ટમ સામે નિર્દોષ નાગરિકોના જીવની કોઈ કિંમત જ નથીઆ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને તુરંત ઈ મેમો મોકલતી પોલીસને તેમજ તીસરી આંખને પણ આ ડમ્પરો દેખાતા નથી. પોલીસના 5000, 10000 અને 15000 ની હપ્તા સિસ્ટમ સામે નિર્દોષ નાગરિકોના જીવની કોઈ કિંમત જ નથી. પાણીથી નીતરતું અને નાના વાહનોને રીતે ઉડાડતું ડમ્પર જઈ રહ્યું છે. આ પ્રકારના ડમ્પરોને રોકવાની હિંમત ડબલ એન્જિનની ભાજપની સરકાર ક્યારે બતાવશે?
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં દીવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સ ખાતે બાળકો વચ્ચે રમતાં-રમતાં થયેલી નાની તકરારે એકાએક હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, જેમાં બે અલગ-અલગ કોમના પરિવારો સામસામે આવી ગયા અને લાકડીઓથી એકબીજા પર હુમલો કર્યો. શાકમાર્કેટની સામે આવેલા આ વિસ્તારમાં ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આખા વિસ્તારમાં તંગદિલી ભરી સ્થિતિ સર્જાઈ ગઈ અને તણાવનો માહોલ ફેલાઈ ગયો. મકરપુરા પોલીસે તાત્કાલિક એક્શન લઈને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો અને બંને પક્ષના મળીને 6 લોકોની અટકાયત કરી છે. આ ઘટના શહેરમાં નાની-નાની તકરારોને કારણે વધતી હિંસા અને કાયદો-વ્યવસ્થાના પડકારો તરફ ધ્યાન દોરે છે. બાળકોના ઝઘડામાં પરિવાર વચ્ચે તણાવનો માહોલતરસાલી વિસ્તારમાં સાયકલ ચલાવતા નાના બાળકો વચ્ચે ઝઘડો થતા બે અલગ-અલગ કોમના બાળકોના માતા-પિતા સહિતના પરિવારના સભ્યો પણ ઝઘડો કરવા લાગ્યા હતા. જોતજોતાંમાં બને જૂથનાં લોકો સામસામે આવી ગયા હતા. જેમાં બંને જૂથો વચ્ચે મામલો વધુ ઉગ્ર બનતા તેઓ લાકડીઓ લઈને એકબીજા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ભરી સ્થિતિ સર્જાઈ હતી અને વિસ્તારમાં અચાનક તણાવનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી છ લોકોની અટકાયત કરીઆ ઘટના બાબતે જાણ થતાં મકરપુરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ગણતરીના સમયમાં અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. લાકડીઓથી હુમલો કરવામાં સંડોવાયેલા બંને પક્ષના મળી છ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં મકરપુરા પોલીસે અનવર ઉર્ફે અન્નુ જાકીરહુસેન દિવાન (રહે-દિવાળીપુરા સ્લમ કવાર્ટસ, તરસાલી, વડોદરા), જુનેદ કાઠીયાવાડી સુલેમાન પઠાણ (રહે- દિવાળીપુરા સ્લમ કવાર્ટસ, મકાન નં-પરતરસાલી, વડોદરા) સાથે સામે પક્ષે ધવલભાઇ રવિભાઇ પરમાર (રહે-દિવાળીપુરા સ્લમ કવાર્ટસ, તરસાલી, વડોદરા), ધ્રુવ ઉર્ફે ભયલુ રવિભાઇ પરમાર (રહે-દિવાળીપુરા સ્લમ કવાર્ટસ, તરસાલી, વડોદરા), ભુપેન્દ્રભાઇ ઉર્ફે પપ્પુ રતનસિંહ રાજપુત (રહે-દિવાળીપુરા સ્લમ કવાર્ટસ, તરસાલી, વડોદરા), ગૌરાંગભાઇ શાંતિલાલ પરમાર (રહે-દિવાળીપુરા સ્લમ કવાર્ટસ, તરસાલી, વડોદરા)ને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

26 C