SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

પાનમ સિંચાઈના નિવૃત્ત અધિકારી સામે ACB કાર્યવાહી:₹33 લાખથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

પંચમહાલ ACB એ પાનમ સિંચાઈ પેટા વિભાગના નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલકુમાર શાહ સામે કાર્યવાહી કરી છે. તેમની સામે આવક કરતાં વધુ, એટલે કે ₹33 લાખથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મિલકત તેમની કાયદેસરની આવક કરતાં 74% થી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ACB દ્વારા વર્ષ 2004 થી 2015 સુધીના 11 વર્ષના સમયગાળાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્નેહલકુમાર શાહની કાયદેસરની આવક, તેમના ખર્ચ અને રોકાણોની વિગતો ચકાસવામાં આવી હતી. તપાસના અંતે, કુલ ₹33,00,000 (33 લાખ) થી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ રકમ તેમની કુલ કાયદેસરની આવકની સરખામણીમાં 74.19% જેટલી વધુ હોવાનું નોંધાયું છે. સ્નેહલકુમાર શાહ આ મોટી રકમનો હિસાબ આપી શક્યા ન હોવાથી, ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સમગ્ર મામલાની વધુ તપાસ મહીસાગર ACB ને સોંપવામાં આવી છે. મહીસાગર ACB હવે આ મિલકતોના અન્ય સ્ત્રોતો અને વ્યવહારોની તપાસ કરશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 1:51 pm

રાજકોટમાં 17 વર્ષથી ભાડાના બે રૂમમાં ધમધમતી સરકારી સ્કૂલ:સવાલ સાંભળી શિક્ષણમંત્રી ગેંગેંફેંફેં, કાનગડે માંડ રેસ્ક્યૂ કર્યા, કોર્પોરેટરે સ્ટેજ પરથી નવા બિલ્ડિંગની માગ કરી

શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા આજે રાજકોટના પ્રવાસે છે, ત્યારે તેઓએ સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમા ખોડીયાર સ્કીલ નંબર 76ના રૂ.2.63 કરોડના ખર્ચે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતુ. જોકે, આ તકે કોંગ્રેસના કોર્પોરેટરો અહીં પહોંચ્યા હતા અને શિક્ષણમંત્રીનું બુકે આપી સ્વાગત કર્યુ હતુ. જે બાદ તેમણે આવકાર આપતી સ્પીચ સમયે સ્ટેજ પરથી વોર્ડ નંબર 15માં ભાડાના મકાનમાં માત્ર બે રૂમમાં 17 વર્ષથી ધમધમતી સ્કૂલ નંબર 99ને જમીન ફાળવી નવું બિલ્ડિંગ બનાવવા માગ કરી હતી. આ કાર્યક્રમ બાદ શિક્ષણ મંત્રીને સ્કૂલ નં. 99 વિશે સવાલ કરતા ગેંગેંફેંફેં થઈ આમતેમ ડોકી ફેરવી હતી. આ સમયે બાજુમાં હાજર ધારાસભ્ય ઉદય કાનગડે ડો. પ્રદ્યુમન વાજાનું મીડિયાના સવાલોથી રેસ્ક્યૂ કરી કામ પાપલાઈનમાં હોવાનું જણાવી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. શાળા ભાડાના મકાનમાં બે રૂમમાં ચાલે છેરાજકોટમાં શાળા નંબર 99 ભાડાના મકાનમાં ચાલતી હોવા છતાં નવી શાળા માટે જમીન ફાળવવામાં આવતી ન હોવાના મુદ્દે કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકા સામે અગાઉ ઉગ્ર વિરોધ નોંધાવી ચૂકી છે ત્યારે આજે શિક્ષણમંત્રીની હાજરીમાં કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ શાળાનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ શાળા ભાડાના મકાનમાં બે રૂમમાં ચાલે છે. અહીં 214 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ બની રહ્યું હતું ત્યારે પણ સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરને પત્ર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, બજેટમાં શાળા નંબર 99 માટે અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે પરંતુ આજદિન સુધી કોઈ ગ્રાન્ટ આપવામાં આવી નથી. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં નસવાડીમાં સરકારી શાળામાં શિક્ષક બે દિવસથી હાજર નથી. જેથી ગ્રામજનો દ્વારા શાળા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે જે અંગે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અમરેલી જિલ્લા વિધાસભાના પૂર્વ નિયામક ડૉ. ગિરીશ ભીમાણીએ વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના કરતૂત અંગે પૂછવામાં આવતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે તે સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. શિક્ષણમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા હતાઆ દરમિયાન શિક્ષણમંત્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સ્થિત સમરસ બોયઝ હોસ્ટેલની મુલાકાત લેવા જશે. જ્યાં વિદ્યાર્થીઓએ અગાઉ ભોજનમાં ઈયળ, મેન્ટેનન્સનો અભાવ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ બાબતે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તેમણે અધિકારીઓને ખખડાવ્યા હતા અને હવે તેમની બીજી મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રી ત્યાં રૂબરૂ જશે. આ ઉપરાંત તેમણે કાલાવડ રોડ ઉપર આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકર કન્યા છાત્રાલયની મુલાકાત લેશે. જે બાદ સાંજે 5 વાગ્યે મોહનભાઈ હોલ ખાતેથી રાજકોટના દરેક વિસ્તારમાં રહેતા વાલ્મિકી સમાજ માટે રાજકોટ વાલ્મિકી સમાજ ડિજિટલ સર્વે -2026 વેબ પોર્ટલનુ લોન્ચિંગ કરશે અને આ સાથે જ ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ‘ટીપીનો પ્લોટ ફાળવી નવી શાળાનું બિલ્ડીંગ બનાવાશે’ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે તેમને શાળા નંબર 99 યાદ આવી છે પરંતુ તે કામ પાઇપલાઇનમાં છે. કોર્પોરેશન દ્વારા ટીપીનો પ્લોટ ફાળવી નવી શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 1:50 pm

બનાસ સુઝુકી બાયો-CNG પ્લાન્ટનું લોકાર્પણ:રાજ્યપાલ, અધ્યક્ષ અને મંત્રીની ઉપસ્થિતિમાં વડગામના ભૂખલા ખાતે યોજાશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ તથા પશુપાલન મંત્રી જીતુ વાઘાણી આજે બનાસકાંઠાની મુલાકાતે છે. તેઓ વડગામના ભૂખલા ખાતે બનાસ સુઝુકી બાયો-CNG પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટ બનાસ ડેરી અને સુઝુકી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સ્થાનિક પશુપાલકો અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત થોડીવારમાં વડગામના ભૂખલા ખાતે પહોંચશે અને આ કાર્યક્રમમાં ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 1:44 pm

મૌની અમાવસ્યા: શિવ મંદિરોમાં પિતૃ પૂજા:ત્રિવેણી સંગમે ગ્રહ શાંતિ માટે પૂજાઓ યોજાઈ

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં મૌની અમાવસ્યા નિમિત્તે શિવ મંદિરો અને ત્રિવેણી સંગમ પર પિતૃ પૂજા અને ગ્રહ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનો સવારથી પ્રારંભ થયો હતો. હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. યજમાનોની ઉપસ્થિતિમાં પિતૃપૂજા, કાલસર્પ પૂજા અને ગ્રહ શાંતિ પૂજાઓ યોજાઈ હતી. મંદિર પરિસર બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રો અનુસાર, આ દિવસે શિવ પૂજા કરવાથી પિતૃ શાંતિ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ, આજે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું પણ મહત્વ છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 1:42 pm

ભોલાવ પંચાયતમાં રૂ.95 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસકાર્યોને વેગ

ભરૂચના ભોલાવ પંચાયત વિસ્તારમાં કુલ રૂ. 95 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગટર અને માર્ગ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, ભોલાવ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નારાયણ કુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે રૂ. 25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને રૂ. 40 લાખના ખર્ચે માર્ગ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત, ભોલાવ પંચાયતથી પાર્થનગર સુધી રૂ. 30 લાખના ખર્ચે પૂર્ણ થયેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યોનો મુખ્ય હેતુ ભોલાવ પંચાયત વિસ્તારના લોકોની સુખાકારી અને નાગરિક સુવિધાઓમાં વધારો કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 1:30 pm

ભીમરાડમાં ઓટો ગેરેજમાં આગ લાગતાં દોડધામ:ટાયરો, ટ્યુબો, એન્જિન ઓઈલથી આગનું વિકરાળ રૂપ, માલસામાન બળીને ખાખ, આગ લાગી કે લગાવાઈ તેને લઈને રહસ્ય

સુરત શહેરના ભીમરાડ વિસ્તારમાં એક ઓટો ગેરેજમાં રહસ્યમય સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સંપૂર્ણ ગેરેજ તેની ઝપેટમાં આવી ગયું હતું અને અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, આ આગ અકસ્માત છે કે કોઈએ જાણીજોઈને લગાડી છે, તે બાબતે હાલ રહસ્ય સર્જાયું છે. ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળીમળતી વિગતો અનુસાર, ભીમરાડ રોડ પર આવેલા સ્વામી બા પાર્ટી પ્લોટની બાજુમાં 'અંબિકા ઓટો ગેરેજ' નામની દુકાન આવેલી છે. આ ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગેરેજમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી. પેટ્રોલિંગમાં રહેલી સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાની ગંભીરતા સમજી ભીમરાડ ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ટાયરો, ટ્યુબો, એન્જિન ઓઈલથી આગે વિકરાળ રૂપ લીધુંકોલ મળતાની સાથે જ ભીમરાડ ફાયર સ્ટેશનના ફાયર સબ ઓફિસર જયેશ લાડ તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ગેરેજની અંદર રબરના ટાયરો, ટ્યુબો, એન્જિન ઓઈલના કેન અને અન્ય સ્પેરપાર્ટ્સનો મોટો જથ્થો હોવાથી આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેલ અને ટાયરોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને આખું ગેરેજ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગેરેજ માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ લાગી કે લગાડવામાં આવી?આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિકોમાં એવી ચર્ચા શરૂ થઈ કે આ આગ કુદરતી કે શોર્ટ સર્કિટથી નથી લાગી, પરંતુ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા લગાડવામાં આવી છે. ગેરેજ જે રીતે રહસ્યમય રીતે આગની લપેટમાં આવ્યું તેને જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ગેરેજમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ ટેકનિકલ કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે કોઈ અંગત અદાવતમાં આ કૃત્ય આચરવામાં આવ્યું હોઈ શકે છે. પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 1:08 pm

ચૂંટણીનાં પડકારો અંગે પૂછતાં ચાલતી પકડી:રાજકોટમાં પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટનું ઢોલ-નગારાનાં તાલે ભવ્ય સ્વાગત, કોર્પોરેશન ચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હાલ યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં છે. જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ સૌપ્રથમ રાજકોટ આવેલા પ્રશાંત કોરાટનું સ્થાનિક ભાજપનાં અફેવનો દ્વારા ઢોલ-નગારાનાં તાલે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રશાંત કોરાટે આગામી કોર્પોરેશન ચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે ચૂંટણીનાં પડકારો અંગે પૂછતાં ચાલતી પકડી હતી. પ્રદેશ ભાજપમાં યુવાઓના વધતા દબદબાના પ્રતીક સમા પ્રશાંત કોરાટના સ્વાગત માટે રાજકોટના સિનિયર નેતાઓ અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યકરોમાં એટલો ભારે જોશ હતો કે પ્રશાંત કોરાટ જેવા પોતાની કારમાંથી ઉતર્યા, તરત કાર્યકરોએ તેમને ખભે બેસાડી દીધા હતા અને નારાબાજી સાથે સ્ટેજ સુધી દોરી લાવ્યા હતા. ઢોલ-નગારાના ગુંજારવ અને ફટાકડાના આતશબાજી વચ્ચે આખું વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. મહિલા મોરચાના આગેવાનોએ પરંપરાગત રીતે કુમકુમ તિલક કરી અને પુષ્પવર્ષા કરીને તેમને વધાવ્યા હતા. કોર્પોરેશન ચૂંટણીમાં જીતનો વિશ્વાસ સ્વાગત કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કોરાટે પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પક્ષના નેતૃત્વનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે, પક્ષે જે વિશ્વાસ મૂકીને તેમને મહત્વની જવાબદારી સોંપી છે, તે માટે તેઓ કટિબદ્ધ છે. આગામી રાજકીય વ્યૂહરચના અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હવે આવનારી રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે ભવ્ય જીત મેળવશે. કાર્યકરોનો આ ઉત્સાહ જ વિજયની નિશાની છે. પડકારો અંગે મૌન જોકે, જ્યારે મીડિયા દ્વારા આગામી ચૂંટણીના પડકારો અને સંગઠનની આંતરિક બાબતો અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે પ્રશાંત કોરાટે કુનેહપૂર્વક તે સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. અને ત્યાંથી ચાલતી પકડી હતી. પ્રશાંત કોરાટએ માત્ર પક્ષની એકતા અને વિજયી રથને આગળ ધપાવવા પર જ ભાર મૂક્યો હતો. પરંતુ ભાજપ સામે આમ આદમી પાર્ટી સહિતના પડકારો અને ભાજપનાં આંતરિક જૂથવાદ અંગે કંઈપણ બોલવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કોરાટનાં પ્રદેશ મહામંત્રી પદે આગમનથી રાજકોટ શહેર અને જિલ્લાનાં કાર્યકરોમાં નવો સંચાર જોવા મળ્યો છે. ખાસ કરીને યુવા કાર્યકરોમાં પ્રશાંત કોરાટની નિમણૂકથી એક પોઝિટિવ મેસેજ ગયો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આ સ્વાગત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો સહિત સ્થાનિક આગેવાનોએ હાજર રહી સંગઠનની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. ત્યારે આગામી દિવસોમાં કોરાટના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્રમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બને છે કે નહીં તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:56 pm

રાજકોટમાં 181-1098 અને પોલીસનું સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન:8 વર્ષના ભૂલા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે માનવીય સંવેદના અને ઝડપી કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જાગૃત નાગરિકની સતર્કતા અને સરકારી તંત્રની નિષ્ઠાને કારણે 8 વર્ષનો એક બાળક જે રસ્તો ભટકી ગયો હતો, તે ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે તેના માતા-પિતા પાસે પહોંચી શક્યો છે. ઘટનાની વિગત મુજબ, 181 હેલ્પલાઇન પર એક નાગરિકે બાળક એકલું હોવાની જાણ કરી હતી. કાઉન્સેલર બીનાબેન ગોહિલ અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને વિશ્વાસમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બાળકના વાલી-વારસની ભાળ ન મળતા ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ના યોગેશભાઈ અને પિયુષભાઈની ટીમને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ટીમ દ્વારા અટિકા વિસ્તાર, નજીકની શાળાઓ અને પુલ નીચેના રહેણાંક વિસ્તારોમાં બાળકના ફોટા સાથે તપાસ કરવામાં આવી હતી. અંતે મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપાયો હતો, જ્યાં પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરી બાળકના ભાઈને શોધી કાઢ્યો હતો. બાળકના માતા-પિતાની ઓળખ ચકાસ્યા બાદ બાળકને તેમને સોંપવામાં આવ્યું હતું. આ તકે અધિકારીઓએ વાલીઓને ઠપકો આપતા સમજાવ્યું હતું કે, નાની ઉંમરના બાળકોને એકલા બહાર મોકલવા એ ગંભીર બેદરકારી છે. બાળકના પરિવારે પોતાની ભૂલ સ્વીકારી તમામ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તંત્રએ અપીલ કરી છે કે જ્યારે પણ કોઈ બાળક સંકટમાં દેખાય ત્યારે તુરંત 181 કે 1098 પર જાણ કરવી

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:51 pm

ખેરાલુમાં મોડી રાત્રે બે ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાયા:બંને ચાલકો ઈજાગ્રસ્ત, ગાડીઓના આગળના ભાગનો કુરચો બોલ્યો

ખેરાલુના રૂદ્રાક્ષ પેટ્રોલ પંપ નજીક ગત મોડી રાત્રે બે આઇવા ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાત્રિના અઢી વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. બે ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાયામળતી માહિતી પ્રમાણે એક ડમ્પર ભેમાળનું અને બીજું કહોળાનું હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ બંને ગાડીઓના ચાલકોએ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બંને ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને વાહનોને નુકસાન થયું છે. બંને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવારમાં ખસેડાયાઅકસ્માતની જાણ થતા જ ખેરાલુ 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ના પાયલોટ જયંતિભાઇ પરમાર અને EMT નરસિંહજી ઠાકોરે તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત ડ્રાઇવરોને પ્રાથમિક સારવાર આપી ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. એકની હાલત ગંભીર થતાં વડનગર ખસેડાયોખેરાલુ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને ડ્રાઇવરોની હાલત જોતા તેઓને વધુ સારવાર માટે વડનગર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી ઉમતા ગામના ચાલક શર્માજી ઠાકોરને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મોડી રાતે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતીઅકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખેરાલુ પોલીસની વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી વાહનવ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:45 pm

હળવદ: જુના દેવળીયા ગામે કારમાંથી દારૂ ઝડપાયો:144 બોટલ દારૂ સાથે 4.58 લાખનો મુદ્દામાલ કબજે, આરોપી ફરાર

મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાઈસ્કૂલ નજીક પાર્ક કરેલી એક સ્વીફ્ટ કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે સ્વીફ્ટ કાર (નંબર GJ 3 FD 2397) ની તપાસ કરતા તેમાંથી 144 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂ. 1,58,400 આંકવામાં આવી છે. પોલીસે રૂ. 1,58,400 ની કિંમતનો દારૂ અને રૂ. 3 લાખની કિંમતની સ્વીફ્ટ ગાડી સહિત કુલ રૂ. 4,58,400 નો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન કારનો ચાલક સ્થળ પર હાજર ન હોવાથી તે ફરાર થઈ ગયો હતો. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:36 pm

અમદાવાદ રેલવે સ્ટેશન પર ૧૮ જાન્યુઆરીએ મેગા બ્લોક:સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજની કામગીરીને પગલે આજે અનેક ટ્રેનો આંશિક અને સંપૂર્ણ રદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસના કાર્યને વેગ આપવા માટે આજે, 18January 2026ના રોજ રેલવે તંત્ર દ્વારા મોટો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 06થી 10પર નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB) ના ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ટ્રેન વ્યવહાર પર મોટી અસર પડશે. આ કામગીરી માટે ART ક્રેન અને હાઈડ્રા મશીનોની મદદ લેવામાં આવશે. આ બ્લોકના કારણે મુસાફરોની માનીતી એવી 19033વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન અને ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનને વટવા સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. એટલે કે, આ ટ્રેનો વટવા અને અમદાવાદ સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત, વલસાડ–વડનગર ઇન્ટરસિટી (20959/20960), મણિનગર–વડોદરા ઇન્ટરસિટી (19036/19035) તેમજ વડોદરા અને આણંદ વચ્ચે દોડતી અનેક મેમુ અને પેસેન્જર ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. રેલવે વહીવટી તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનનું સ્ટેટસ તપાસી લે. સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધા માટે આ બ્લોક અનિવાર્ય હોવાથી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:34 pm

ભરૂચમાં ડમ્પરે રીક્ષા, કાર અને મોપેડને ટક્કર મારી:પાંચથી વધુ લોકોને ઈજા પહોંચી, અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર

ભરૂચ તાલુકાના કંથારીયા પાસે આજે અકસ્માતની ઘટના સામે આવી છે. ડમ્પરે રીક્ષા, કાર અને મોપેડને ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું છે. જ્યારે પાંચથી વધુ લોકોને ઈજા પહોંચી છે. જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થયો છે. તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. અમે આને અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:30 pm

વલસાડમાં લાખોની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા:પોલીસે અબ્રામા ગોકુલધામ સોસાયટીમાંથી બે સાગરીતને દબોચ્યા

વલસાડ સિટી પોલીસે અબ્રામા ગોકુલધામ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ ચોરી અંગેની ફરિયાદ 27 ડિસેમ્બરના રોજ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદી 27 ડિસેમ્બર, 2025ના રોજ પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પડોશીએ ફોન કરીને ઘરનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. તપાસ કરતાં પાર્કિંગમાંથી ₹૩૫,૦૦૦ની કિંમતની હોન્ડા સી.બી. સાઈન મોટરસાયકલ (GJ-15-DG-6210) ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત, ઘરના ઉપરના માળે બેડરૂમમાં રાખેલા કબાટમાંથી સોનાના દાગીનાની પણ ચોરી થઈ હતી. જેમાં આશરે ૨૯ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર (કિંમત ₹81,328) અને આશરે 09 ગ્રામની 4 સોનાની વીંટી (કિંમત ₹25,110)નો સમાવેશ થાય છે. કુલ ₹1,06,438/- થી વધુની મતાની ચોરી અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વલસાડ SP યુવરાજસિંહ જાડેજાના સૂચન અને વલસાડ સિટી PI દિનેશ પરમારના નેતૃત્વ હેઠળ, વલસાડ સિટી પોલીસની ટીમે CCTV સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. PSI એ.બી. ગોહિલ અને તેમની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે: ફૈઝાન ઉર્ફે જાની રસુલભાઈ મોરવાડીયા (ઉંમર ૩૧, રહે. સુરેન્દ્રનગર, મૂળ રહે. ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) અને આગામીર ખાન જહાંગીર ખાન પઠાણ (ઉંમર ૫૫, રહે. બીડ, મહારાષ્ટ્ર). પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલી છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. ૧૧૨ હેલ્પલાઈન અને સ્થાનિક પોલીસના સંકલનથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:27 pm

અમદાવાદમાં યોજાશે ભવ્ય 'પૃથ્વી રત્ન-10' સમારોહ:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા શાહીબાગમાં ભવ્ય આયોજન

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા રવિવાર, 18 January, 2026 ના રોજ ‘પૃથ્વી રત્ન - 10’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શાહીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે બપોરે 3:30 વાગ્યે યોજાનારા આ સમારોહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ફાઉન્ડેશનના પ્રમુખ CA R S પટેલ અને મોનાબેન પટેલે આ ગૌરવશાળી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:26 pm

હિંમતનગર ફાયર વિભાગે સાતથી વધુ પ્રતિમાની સફાઈ કરી:નગરપાલિકા દ્વારા સ્થાપિત સર્કલોની પણ સફાઈ કરાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં સ્થાપિત પ્રતિમાઓ અને સર્કલોની સફાઈ કરવામાં આવી હતી. શનિવારે રાત્રે પાણીના પ્રેશરનો ઉપયોગ કરીને આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન અંતર્ગત મહાવીરનગર ચાર રસ્તે આવેલ અહિંસા સર્કલ, નમસ્તે સર્કલ, ટાવર ચોક, જૂની સિવિલ સર્કલ, પાંચબત્તી વિસ્તાર, છાપરિયા ચાર રસ્તે, મોતીપુરા અને મહેતાપુરા ચાર રસ્તે સહિતના વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદ સહિતની પ્રતિમાઓને સાફ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:17 pm

ભક્તિ સાથે સેવાનો સંદેશ ફેલાવતું શ્રી કંડકાલી મંડળ:સાયન્સ સિટીની સાંઇ જ્યોત રેસીડેન્સીમાં આનંદના ગરબાની જમાવટ

સાયન્સ સિટી ખાતે આવેલી સાંઇ જ્યોત રેસીડેન્સીમાં આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સાંઇ જ્યોત પરિવારની મહિલાઓ દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. શ્રી કંડકાલી આનંદ ગરબા મંડળના સભ્યોએ પરંપરાગત ગરબાની સુંદર રજૂઆત કરી હતી. નીતાબેન રામીના મધુર કંઠે કર્ણપ્રિય સંગીતના તાલે વિવિધ વેશભૂષાઓ સાથે ગવાયેલા ગરબાએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સોસાયટીના સભ્યોએ સંગીતમય આરતી ઉતારી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રી કંડકાલી આનંદ ગરબા મંડળ દ્વારા નિયમિતપણે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. જેમાં ચકલાઓને ચણ, ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલો, વૃદ્ધાશ્રમમાં દાન તેમજ વિકલાંગ બાળકોની સેવા જેવી માનવતાભરી કામગીરીનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:09 pm

સુરત બન્યું 'હિલ સ્ટેશન', બીજા દિવસે ગાઢ ધુમ્મસ:ફ્લાઈટ અને વાહન-વ્યવહાર ખોરવાયો; અમરેલી રાજ્યમાં સૌથી ઠંડુ, તાપમાનનો પારો બે ડિગ્રી ઊંચકાયો

સુરતમાં છેલ્લા બે દિવસથી કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ જતાં સુરત કોઈ હિલ સ્ટેશન હોય તેવા આહલાદક દૃશ્યો સર્જાયા હતા, પરંતુ આ ધુમ્મસ વાહનચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું હતું. હવામાનની વાત કરીએ આગાહી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત મળી છે. નલિયાને પાછળ છોડીને અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે, જ્યારે ગાંધીનગર 12.8 ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સામાન્ય રીતે યથાવત્ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવનારા દિવસોમાં તાપમાનમાં થોડીઘણી વધઘટ જોવા મળી શકે છે. ધુમ્મસની જનજીવન પર વ્યાપક અસરશનિવારે વહેલી સવારથી જ વિઝિબિલિટી નહિવત્ થઈ જતાં શહેરના વિવિધ માર્ગો પર વાહન-ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ મંદ પડી હતી. વાહનચાલકોને દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ધુમ્મસની સૌથી વધુ અસર સુરત એરપોર્ટ પર જોવા મળી હતી. ખરાબ દૃશ્યતાને કારણે સુરત આવતી બે ફ્લાઈટ અને અહીંથી ઉપડતી બે ફ્લાઈટ મોડી પડી હતી, જેના કારણે મુસાફરો અટવાયા હતા. રેલવે ટ્રેક પર પણ ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ ધીમી રાખવામાં આવી હતી, પરિણામે અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી હતી. હિલ સ્ટેશન જેવો માહોલસુરતની હાઈરાઈઝ બિલ્ડિંગો ધુમ્મસની ઉપર હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. 10 વાગ્યા બાદ પણ ધુમ્મસનું જોર રહેતા સુરતીઓએ ઠંડકભર્યા માહોલની મજા માણી હતી. જોકે, કામકાજ અર્થે વહેલા નીકળતા લોકો માટે આ ધુમ્મસ પરેશાનીનું કારણ બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરતમાં રેકોર્ડબ્રેક ઠંડી બાદ હવે તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે અને કાલે રાત્રીના તાપમાનમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે. આગામી બે દિવસ ઠંડીનું જોર વધશે, ત્યારબાદ પારો 1થી 2 ડિગ્રી જેટલો વધી શકે છે. ટ્રાન્સપોર્ટ સેવાઓને માઠી અસર પહોંચીસુરતમાં કુદરતી રીતે સર્જાયેલા આ ધુમ્મસના કારણે એકતરફ સુંદર નજારા જોવા મળ્યા છે, તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ સેવાઓને માઠી અસર પહોંચી છે. આગામી બે દિવસ હજુ પણ ઠંડી અને ધુમ્મસનું જોર રહેવાની શક્યતા હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 11:50 am

જામનગરમાં રાષ્ટ્રીય એકતા બાઈક રેલીમાં લોકો જોડાયા:ભાષા, સંસ્કૃતિ અને પરંપરા ભલે અલગ હોય, પણ રાષ્ટ્ર એક, વિવિધતામાં એકતાનો સંદેશ

જામનગરમાં રાષ્ટ્રીય એકતા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીનો મુખ્ય હેતુ દેશમાં વધી રહેલી ભાષાકીય, પ્રાંતીય અને સાંસ્કૃતિક ભેદભાવની માનસિકતાને દૂર કરવાનો હતો. ભારતની સૌથી મોટી શક્તિ તેની વિવિધતા છે. મહારાષ્ટ્ર હોય કે ગુજરાત, ઉત્તર ભારત હોય કે ઉત્તર પૂર્વ અથવા દક્ષિણ ભારત – આપણે સૌ એક છીએ અને એક ભારત છીએ. તેમ છતાં, છેલ્લા કેટલાક સમયમાં અમુક નિવેદનો અને ઘટનાઓએ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે, જે દેશની એકતા માટે ચિંતાજનક છે. તાજેતરમાં મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરે દ્વારા આપવામાં આવેલું યુપી-બિહાર વાળાને લાત મારું જેવું નિવેદન માત્ર અસ્વીકાર્ય જ નહીં, પરંતુ ભારતના બંધારણીય મૂલ્યો અને એકતા વિરુદ્ધ છે. ભારત કોઈ એક રાજ્ય કે એક ભાષાનું નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનો દેશ છે. અહીં દરેકને સમાન અધિકાર અને સન્માન મળવું જોઈએ. જામનગરમાં યોજાયેલી આ રેલીનો સ્પષ્ટ સંદેશ હતો કે, ન કોઈ હિન્દીવાળો અલગ, ન મરાઠી અલગ, ન ગુજરાતી અલગ, ન ઉત્તર પૂર્વનો અલગ; આપણે સૌ પહેલા ભારતીય છીએ. ભાષા, સંસ્કૃતિ અને પરંપરા ભલે અલગ હોય, પરંતુ દિલ એક છે અને રાષ્ટ્ર એક છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 11:39 am

42 વિદ્યાર્થીઓનું ભણતર બગાડનાર આચાર્યનું વધુ એક કાંડ:વિદેશ મોકલવાના બહાને ડોક્ટર સહિત 20 લોકો પાસેથી લાખો પડાવ્યાના આક્ષેપ; સ્વામિ. ગુરુકુળમાં જ થતો વ્યવહાર

પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે.એન. રૂપારેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (MBA) કોલેજની ઘોર બેદરકારી અને કૌભાંડના કારણે 42 નિર્દોષ વિદ્યાર્થીના અભ્યાસના 6 મહિના બગડ્યાં છે. તો કોલેજના આચાર્યએ મારી ભૂલ થઈ ગઈ એમ કહી પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. આ વિવાદ વચ્ચે હવે આચાર્યનું વધુ એક કાંડ સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. 20 લોકો પાસેથી લાખો પડાવ્યાંના આક્ષેપપોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય સુમિતભાઈ સામે વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાના ગંભીર આક્ષેપો થયા છે. રાણાવાવના જાણીતા કોસ્મેટિક ડેન્ટલ સર્જન ડો. ધર્મદેવ હિતેશકુમાર જોષીએ આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે સોગંદનામું પણ થઈ ગયું છે અને આગામી સોમ કે મંગળવારે આચાર્ય સામે સમન્સ નીકળવાની શક્યતા છે. મારી પાસે 13 લાખ માંગ્યા હતા: ડોક્ટરછેતરપિંડીનો ભોગબનનાર ડો.જોષીએ જણાવ્યું કે, આચાર્ય સુમિતએ પોતાને ચંદીગઢની એક એજન્સીના એજન્ટ તરીકે ઓળખાવીને વિદેશ જવા માટે મારી પાસેથી કુલ 12થી 13 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી મેં દોઢ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી કામ ન થતા, મેં પૈસા પરત માંગ્યા હતા. આચાર્યએ પૈસા પરત કરવા માટે આપેલા ચેક બે વખત બાઉન્સ થયા છે. આથી મેં આચાર્ય સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. 15થી 20 લોકો છેતરપિંડીનો ભોગ બન્યાં: ડોક્ટરડો. જોષીએ દાવો કરતાં જણાવ્યું કે, પોરબંદરમાં તેમના જેવા અન્ય 15થી 20 લોકો પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ તમામ મિટિંગો અને વ્યવહારો સ્વામિનારાયણ ગુરુકુળની આચાર્યની ઓફિસમાં જ કરવામાં આવ્યા છે. જેના વીડિયો પણ છે. શું છે કોલેજનું કૌભાંડ? 16 જાન્યુઆરીથી MBA સેમેસ્ટર-1ની પરીક્ષાઓ શરૂ થઈ હતી. રૂપારેલ કોલેજના 42 વિદ્યાર્થી જ્યારે ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે તેમની હોલ ટિકિટ જ જનરેટ થઈ નથી. છેલ્લા એક મહિનાથી કોલેજ વહીવટીતંત્ર થઈ જશે ના ખોટા આશ્વાસનો આપતું હતું, પરંતુ અંતે પરીક્ષાના દિવસે જ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુમિત આચાર્યએ મારી ભૂલ થઈ ગઈ કહીને હાથ અધ્ધર કરી દેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ રડી પડ્યા હતા. GTU રજિસ્ટ્રારનો ધડાકો: “સંસ્થાએ બારોબાર એડમિશન આપ્યા”આ મામલે GTUના રજિસ્ટ્રાર કે.એન. ખેરે અત્યંત ગંભીર ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થાએ AICTE દ્વારા જનરેટ થતું ફરજિયાત UAE (Extension of Approval) યુનિવર્સિટીમાં સબમિટ કર્યું નહોતું, જેના કારણે તેમનું એફિલિએશન (માન્યતા) મંજૂર થયું ન હતું. જુઓ GTUનું કોલેજ એનરોલમેન્ટ લીસ્ટ નિયમોનું ઉલ્લંઘન: માન્યતા વગર જ કોલેજે ACPC (Admission Committee for Professional Courses)ને બદલે પોતાની રીતે બારોબાર એડમિશન આપી દીધા હતા. નોંધણી જ નથી: યુનિવર્સિટી પાસે આ વિદ્યાર્થીઓની કોઈ વિગત જ નહોતી, જેના કારણે તેમનું એનરોલમેન્ટ થઈ શક્યું નથી અને હોલ ટિકિટ રિલીઝ થઈ નથી. ₹12.60 લાખની ફી વસૂલી; આચાર્યનો લુલો બચાવઆમ આદમી પાર્ટીના નેતા ડૉ. નૂતન ગોકાણીએ આક્ષેપ કર્યો છે કે, કોલેજે પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી ₹30,000 લેખે કુલ ₹12.60 લાખ જેવી માતબર રકમ ઉઘરાવી છે. બીજી તરફ, પ્રિન્સિપાલ સુમિત આચાર્યએ એવો બચાવ કર્યો કે હાઈ બ્લડપ્રેશરના ડિપ્રેશનને કારણે તેઓ 15 સપ્ટેમ્બરની ડેડલાઇન ચૂકી ગયા હતા. જોકે, સવાલ એ ઉઠે છે કે 4 મહિના સુધી આ સત્ય કેમ છુપાવવામાં આવ્યું?

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 11:39 am

રાજ્યમાં કડકડતી ઠંડીમાંથી રાહત, 24 કલાકમાં લઘુત્તમ તાપમાન વધ્યું:સૌથી નીચું તાપમાન 12 ડિગ્રી અમરેલીમાં નોંધાયું, ઠંડીમાં રાહત છતાં તાપમાનમાં ફેરફારની શક્યતા

રાજ્યના મોટા ભાગના શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી લોકોને કડકડતી ઠંડીનો અહેસાહ થઈ રહ્યો હતો. જો કે છેલ્લા 24 કલાકમાં કડકડતી ઠંડીનું જોર ઘટતા લોકોને રાહત મળી છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન એક ડીજીટમાં પહોંચી જતા લોકો ઠંડીથી ઠુંઠવાતા જોવા મળી રહ્યા હતા. પરંતુ હવે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા લોકોને રાહત મળી છે. ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે અમુક શહેરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. તાપમાન અમરેલીમાં 12 ડિગ્રી નોંધાયુંહવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં નલિયા કરતા પણ સૌથી નીચું તાપમાન અમરેલીમાં 12 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, ડીસા 13 ડિગ્રી, દાહોદમાં 13.1 ડિગ્રી, નલિયામાં 13.2 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી, ડાંગમાં 14.1 ડિગ્રી, પોરબંદરમાં 14.3 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી, સુરતમાં 15.2 ડિગ્રી, દિવમાં 15.7 ડિગ્રી, ભુજમાં 16 ડિગ્રી, કંડલામાં 16.6 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રી, વેરાવળમાં 17.7 ડિગ્રી, દ્વારકામાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાશે, સાત દિવસ યથાવત રહેશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સામાન્ય રીતે યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા અમુક વિસ્તારમાં તાપમાન વધશે અમુક વિસ્તારમાં તાપમાન ઘટશે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવનારા દિવસોમાં તાપમાનમાં થોડીઘણી વધઘટ જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 11:39 am

પાટણમાં 11 નવા સ્વચ્છતા વોર્ડ બનાવાયા:વિસ્તાર અને જનસંખ્યામાં વધારો થતાં સ્વચ્છતા વોર્ડનું વિભાજન કરાયું, દરેક વોર્ડમાં વોર્ડ ઇન્સ્પેક્ટરને ફરજ સોંપાઈ

પાટણ નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા સુધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના 6 સ્વચ્છતા વોર્ડને વિભાજિત કરીને હવે 11 નવા સ્વચ્છતા વોર્ડ બનાવવામાં આવ્યા છે. આ નિર્ણય પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે લીધો છે. શહેરમાં વિસ્તાર અને જનસંખ્યામાં વધારો થતાં સ્વચ્છતા વોર્ડના વિભાજનની લાંબા સમયથી જરૂરિયાત હતી. પાટણ શહેરમાં ચૂંટણી વોર્ડની સંખ્યા 11 છે, જ્યારે સ્વચ્છતા વોર્ડ માત્ર 6 હતા. આ અસમાનતાને દૂર કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે સ્વચ્છતા શાખાની બેઠકમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કર્યો હતો. નગરપાલિકાના દસ વોર્ડ ઇન્સ્પેક્ટરોને 11 વોર્ડમાં ફરજ બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસરે જારી કરેલા આદેશ મુજબ, વોર્ડ 1માં પાર્થ પટેલ, વોર્ડ 2માં જીગર પ્રજાપતિ, વોર્ડ 3માં આકાશ અમીન, વોર્ડ 4માં રવી રાણા, વોર્ડ 5માં મયુર સોલંકી, વોર્ડ 6માં કિરણ પરમાર, વોર્ડ 7 અને 10માં મુનાફ શેખ, વોર્ડ 8માં હિમાંશુ સોલંકી, વોર્ડ 9માં મહેશ સોલંકી અને વોર્ડ 11માં અનિલ સોલંકીને ફરજ સોંપવામાં આવી છે. આ વોર્ડ ઇન્સ્પેક્ટરોની દર ત્રણ માસે વોર્ડની ફેરબદલી કરવામાં આવશે, જેમાં તેઓ નેક્સ્ટ નંબરના વોર્ડમાં ફરજ બજાવશે. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું કે, પાટણ શહેરમાં કોઈપણ સ્થળે ગંદકી કરતા જણાશે તો તેમની સામે ગંદકી અંગેના કાયદા મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 11:36 am

આડોડિયાવાસ વિસ્તારમાં દેશીદારૂ સાથે એક શખ્સ ઝડપાયો:45 લીટર દેશી દારૂ જપ્ત, ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટાફ ગતરાત્રીના પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન આડોડિયાવાસ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ઉભેલા એક શખ્સને અટકાવી તપાસ કરતા તેની પાસેથી કુલ 45 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, પૂછપરછ દરમિયાન દારૂ સ્થાનિક વિસ્તારમાંથી મેળવી કુંભારવાડા વિસ્તારમાં સપ્લાય કરવાનો હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે ત્રણ ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે. એક શખ્સ શંકાસ્પદ રીતે પ્લાસ્ટિકના કંતાનની થેલી લઈને ઉભો હતોભાવનગર શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે ઘોઘારોડ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ગતરાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાવનગરના આડોડિયાવાસ વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ રીતે પ્લાસ્ટિકના કંતાનની થેલી લઈને ઉભો હોવાનું નજરે પડ્યું હતું. 45 લીટર દેશી દારૂ જપ્તતપાસ કરતા રવિકુમાર ઘનશ્યામભાઈ ડોડીયા, ઉંમર વર્ષ 31, પાસેથી પ્લાસ્ટિકની મોટી કોથળીઓ 9 નંગ મળી આવી હતી. જેમાં દરેક કોથળીમાં અંદાજે 5 લીટર દારૂ ભરેલ હોવાનું સામે આવ્યું હતુ. આ રીતે કુલ 45 લીટર દેશી દારૂ, જેની અંદાજિત કિંમત રૂપિયા 9000 થાય છે, જે દેશી દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. દારૂ આડોડિયાવાસમાં રહેતી મહિલા પાસેથી લાવ્યોઘોઘારોડ પોલિસે રવિકિશન ડોડિયા નામના આરોપીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તેણે આ દારૂ આડોડિયાવાસમાં રહેતી રીનાબેન સુનિલભાઈ પરમાર પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતુ અને આ દેશી દારૂનો જથ્થો માઢીયારોડ કુંભારવાડા વિસ્તારમાં દારૂનો ધંધો કરતા નરેશભાઈને આપવા જવાનો હોવાની માહિતી આપી હતી. 3 શખ્સો સામે ગુનો નોંધાયોસમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે રવિકુમાર ઘનશ્યામભાઈ ડોડીયા, રીનાબેન સુનિલભાઈ પરમાર તથા નરેશભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ગુન્હામાં અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા પોલિસે તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 11:29 am

અમદાવાદના પૂર્વમાં ડ્રેનેજની સમસ્યામાંથી 4 લાખની વસ્તીને મુક્તિ મળશે:માઈક્રો ટનલિંગ પદ્ધતિથી 4.1 કિમીમાં લાઈન નખાશે, એસપી રીંગ રોડ નજીક ઓપન પાર્ટી પ્લોટ બનશે

અમદાવાદના પૂર્વ વિસ્તારના રહીશોને લાંબા સમયથી સતાવતી ડ્રેનેજની સમસ્યામાંથી ટૂંક સમયમાં મુક્તિ મળશે. તથા એસપી રિંગ રોડ નજીક AMC દ્વારા ઓપન પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, એક તરફ વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરમાં પાણીજન્ય રોગો રોગચાળો વકરવાની શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયામાં ઘટાડો જોવા મળ્યો છે. માઈક્રો ટનલિંગ પદ્ધતિથી 1600 મી. ડાયાની 4.1 કિમીમાં લાઈન નખાશેઅમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો હાલમાં નખાઈ રહી છે અને એમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માઈક્રો ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. પશ્ચિમ વિસ્તારમાં 27 કિલોમીટરની વેસ્ટર્ન ટ્રંક લાઈન ખુલ્લી મૂકવામાં આવી, જેથી પશ્ચિમ ઝોનનાં અનેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં પણ ખાડો ખોદ્યા વિના વસ્ત્રાલથી શરૂ કરી રામોલ ટોલનાકા સુધી 4.1 કિલોમીટર સુધી ટ્રાફિકને કોઈપણ જાતનું ડિસ્ટરબન્સ ન થાય તે ધ્યાનમાં રાખીને 1600 મી. ડાયાની આ લાઈન નાખવામાં આવશે. પૂર્વમાં આ રીતે ડ્રેનેજ લાઈન નાખવાને પરિણામે વસ્ત્રાલ અને રામોલ વિસ્તારમાં ગટર ઉભરાવવાના જે પ્રશ્નો આવતા હતા એ પ્રશ્નો સોલ્વ થશે અને 3થી 4 લાખની વસ્તીને આ ડ્રેનેજનામાંથી છુટકારો મળશે. 4.5 કરોડના ખર્ચે વિશાળ અને આધુનિક પાર્ટી પ્લોટ બનશેનાગરિકોને લગ્ન અને રિસેપ્શન જેવા પ્રસંગો યોજી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા ઓપન પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં થલતેજ, ભાડજ, શીલજ, હેબતપુર, ઘુમા અને બોપલ સહિતનાં વિસ્તારોનાં નાગરિકોની સુવિધા માટે 4.5 કરોડના ખર્ચે વિશાળ પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ભાડજ, શીલજ સહિતના રિંગ રોડ નજીક રહેણાંક વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સામાજીક પ્રસંગો યોજવા માટે ઓપન પાર્ટી પ્લોટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરખાસ્તને સ્ટે.કમિટીમાં બહાલી અપાઈખાસ કરીને હવે રીંગરોડની આસપાસ આવેલા પાર્ટી પ્લોટોમાં નાગરિકો લગ્ન પ્રસંગે રિસેપ્શન યોજતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થલતેજ વોર્ડની ટીપી 301માં પ્રાપ્ત થયેલાં 10 હજારથી વધુ ચોરસ મીટરનાં પ્લોટમાં વિશાળ અને આધુનિક પાર્ટી પ્લોટ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં મ્યુનિ.નાં અંદાજ કરતાં 12 ટકા નીચા ભાવનાં 4.27 કરોડનાં લોએસ્ટ ટેન્ડરને મંજૂરી આપવાની દરખાસ્તને સ્ટે.કમિટીમાં બહાલી આપવામાં આવી હતી. પાર્ટી પ્લોટમાં આ સુવિધાઓ હશેઆ પાર્ટી પ્લોટમાં વર-વધૂ માટેનાં રૂમ, કિચન, ટોયલેટ, ટૂ વ્હિલર અને ફોર વ્હિલર પાર્કિંગ વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્ટી પ્લોટ હોવાથી લેન્ડસ્કેપીંગ અને વૃક્ષારોપણ થકી વાતાવરણને પર્યાવરણીય બનાવવામાં આવશે. આગામી એક વર્ષમાં પાર્ટી પ્લોટ બનીને તૈયાર થઈ જશે. પાણીના સેમ્પલ લેવામાં ઘટાડોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે કાર્યવાહી કરી હોવાની વાત કરવામાં આવી છે પરંતુ આરોગ્ય વિભાગે ગત ડિસેમ્બર મહિનાની સરખામણીમાં ચાલુ જાન્યુઆરી મહિનાના 16 દિવસમાં ખૂબ ઓછા પાણીના સેમ્પલ લીધા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના 7 ઝોનમાંથી ડિસેમ્બરમાં 7,108 અને જાન્યુઆરી 2026 સુધીમાં 2,817 એમ કુલ 9,925 પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જાન્યુઆરીના 15 દિવસમાં ગત મહિના કરતાં 50 ટકા જેટલા પણ પાણીના નમુના લેવાયા નથી. નમુના લીધા બાદ તેના સેમ્પલ અંગે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. 66,062 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યાપાણીમાં ક્લોરીનની ઉપલબ્ધતા ચકાસવા માટે કુલ 66,062 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ડિસેમ્બર દરમિયાન 46,673 અને જાન્યુઆરીમાં 19,389 ટેસ્ટનો સમાવેશ થાય છે. પાણી શુદ્ધિકરણને વધુ મજબૂત બનાવવા માટે કુલ 2 લાખ 65 હજાર 110 ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમાં ડિસેમ્બર મહિનામાં 1 લાખ 95 હજાર 271 અને 11 જાન્યુઆરી 2026 સુધીમાં 69,839 ગોળીઓનું વિતરણ કરાયું હતું.આરોગ્ય વિભાગ દ્વારા આ બે મહિનામાં કુલ 17 હજાર 813 પત્રિકાઓ વિતરણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 11:05 am

પાલિકા ચીફ ઓફિસરે કચરાના પોઈન્ટ્સ નાબૂદ કરવા આદેશ કર્યો:પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી, બેદરકારી પર FIR થશે

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે શહેરમાં દ્રશ્યમાન સ્વચ્છતા સુનિશ્ચિત કરવા કડક આદેશો જારી કર્યા છે. તેમણે તમામ કચરાના પોઈન્ટ્સ કાયમી ધોરણે દૂર કરવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે સઘન કાર્યવાહી કરવા મ્યુનિસિપલ સ્ટાફને સૂચના આપી છે. બેદરકારી દાખવનાર સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ FIR નોંધાશે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પાટણમાં સ્વચ્છતા સુધારવા ઉચ્ચ કક્ષાએથી સૂચનાઓ મળી છે. તાજેતરમાં રાજ્ય સ્તરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગાર્બેજ સ્પોટ અંગે ચર્ચા થયા બાદ ચીફ ઓફિસરે આ પરિપત્ર જારી કર્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2026 માટેની ભારત સરકારની ટૂલકિટમાં 'વિઝિબલ ક્લીનલીનેસ' માટે 1500 ગુણ નિર્ધારિત કરાયા છે. આગામી ફેબ્રુઆરી 2026થી થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ફિલ્ડ વિઝિટ શરૂ થશે. આથી, પાટણ નગરપાલિકાએ 25 જાન્યુઆરી 2026 સુધીમાં તમામ ગાર્બેજ સ્પોટનો નિકાલ કરી બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ચીફ ઓફિસરના આદેશ મુજબ, સેનેટરી ઇન્સ્પેક્ટરે 25 જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોઈ કચરાના સ્પોટ બાકી નથી તેવું બાંહેધરી પ્રમાણપત્ર અને ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. નિયુક્ત ટીમોએ ગાર્બેજ પોઈન્ટ્સના કારણો શોધી કાયમી નિવારણ લાવવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ સફાઈ કામમાં અવરોધ ઉભો કરશે અથવા જાહેરમાં કચરો નાખતા પકડાશે, તો પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ દંડ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. સેનેટરી ઇન્સ્પેક્ટર આસામાન પાલને આ કાયદાકીય કાર્યવાહી માટે અધિકૃત કરાયા છે. ગાર્બેજ સ્પોટ પર મોટાભાગે પ્લાસ્ટિકનો કચરો જોવા મળતો હોવાથી, સિંગલ યુઝ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ-વપરાશ સામે જપ્તી અને દંડનીય ઝુંબેશ ચલાવાશે. આ માટે સેનેટરી ઇન્સ્પેક્ટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સિટી એન્જિનિયર પંકજ પરીખ અને અભિષેક પટેલને જવાબદારી સોંપાઈ છે. શહેરના 6 વોર્ડ ઇન્સ્પેક્ટરોએ દૈનિક ધોરણે પોતાના વોર્ડની મુલાકાત લઈ કચરાના ઢગલા અંગે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ચીફ ઓફિસરે કડક તાકીદ કરી છે કે, આ સમગ્ર ઝુંબેશ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને કચરાના પોઈન્ટ્સ સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે, અને દૈનિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 11:04 am

વધુ એક ચેઈન સ્નેચિંગની ઘટના:વડોદરામાં મંદિરે દર્શન કરવા જતી મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી બાઈક સવાર બે ગઠિયા ભાગી છૂટ્યા, CCTVની મદદથી પોલીસ તપાસ શરૂ

તાજેતરમાં જ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વૃદ્ધ વેપારીની માર માર્યાં બાદ આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટારાઓ રૂપિયા 10 લાખની રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતાં, ત્યારે વડોદરામાં અછોડો મહિલાનો તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરના સુભાનપૂરા હાઈટેન્શન રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મહિલા સવારના મંદિરે દર્શન કરવા ચાલતા જઈ રહ્યા હતાં. ત્યારે બાઇક પર બે ગઠિયા આવ્યા હતાં અને પાછળ બેઠેલા શખ્સે મહિલાએ ગળામાં પહેરેલી રૂ.1.30 લાખની સોનાની ચેન તોડી ભાગી ગયા હતા. સુભાનપૂરા હાઈટેન્શન રોડ પર આવેલા સમૃદ્ધિ ટેનામેન્ટમાં રહેતા છાયાબેન દિપકભાઈ સોની (ઉ.વ.41)ના છુટા છેડા થયેલા છે અને પોતાની દીકરી સાથે રહે છે. 17 જાન્યુઆરીના રોજ સવારના 9 વાગ્યાની આસપાસ ઘરેથી થોડેક આગળ ગુણાતીત પાર્ક પાસે આવેલા શંકરજીના મંદીરે દર્શન કરવા માટે મહિલા એકલી ચાલતા જઈ રહ્યા હતી. આ દરમિયાન ગુણાતીત પાર્ક સોસાયટી પાસે પહોંચતા એક બાઇક આગળથી આવી હતી અને આ બાઈક પર બે શખ્સો બેઠેલા હતા. આ બાઈક સવાર શખ્સો મહિલા પાસે આવ્યા હતા અને મહિલા કઈ સમજે તે પહેલા જ બાઈક પર પાછળ બેઠેલા શખ્સે તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઈન આંચકી લીધી હતી. ગભરાઈ ગયેલી મહિલાએ બૂમાબૂમ કરી હતી પરંતુ કોઇ મદદે આવે તે પહેલાં બાઈક સવાર ચેન સ્નેચર પૂરઝડપે બાઈક દોડાવી રફુચક્કર થઈ ગયા હતાં. બંને બાઈક લઈને પંચામૃત ફ્લેટ બાજુથી આવી સોનાની ચેઇન તોડીને સી.એચ. વિદ્યાલય તરફ ભાગી ગયા હતા. ડરી ગયેલી મહિલાએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે હું મંદિરે ચાલતા જતી હતી, ત્યારે બાઈક સવાર બે ગઠિયા આવ્યા હતાં અને મારા ગળામાંથી રૂપિયા 1.30 લાખની સોનાની ચેન તોડી ભાગી ગયા હતાં. પોલીસે ઘટના સ્થળ પર લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:55 am

લગ્નમાં બિભત્સ ડાન્સ કરનાર સગીર હોવાનું ખુલ્યું:પોલીસે પરિવારને નોટિસ પાઠવી, પોલીસ મથકે હાજર રહેવા સૂચના આપી

ધરમપુર તાલુકાના મોહનાકાવચાલી ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન બિભત્સ ડાન્સનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે ધરમપુર પોલીસે તપાસ હાથ ધરતા ડાન્સ કરનાર સગીર હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 13 જાન્યુઆરી, 2026ના રોજ આયોજિત લગ્નમાં ડીજેના તાલે એક યુવકે જાહેરમાં કપડાં ઉતારી અશ્લીલ નૃત્ય કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગામના આગેવાનો અને આદિવાસી સમાજ દ્વારા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા બાદ ધરમપુર પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ડાન્સ કરનાર વ્યક્તિ સગીર હોવાનું જાણવા મળ્યું છે. આથી, ધરમપુર પોલીસ મથકના PSI દ્વારા સગીરના પરિવારને નોટિસ પાઠવવામાં આવી છે. પોલીસ દ્વારા પરિવારને રવિવારે સગીરના જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ મથકે હાજર રહેવા સૂચના અપાઈ છે. પોલીસ સગીરની ભૂમિકા અને સમગ્ર ઘટના અંગે કાયદેસરની વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:39 am

વડોદરામાં પાડોશીએ જ વેપારી સાથે ઠગાઈ કરી:વેપારીના પુત્ર અને ભાણેજને પહેલા ફ્રાન્સ અને પછી પોલેન્ડના વિઝા અપાવવાના નામે 7.50 લાખ રૂપિયા પડાવ્યા, આરોપીએ ચેક આપ્યો એ એકાઉન્ટ જ ફ્રીઝ નિકળ્યું

વડોદરા નજીકના કંડારી ગામના રહેવાસી અને હાલ માંજલપુર વિસ્તારમાં રહેતા વેપારીના પુત્ર અને ભાણેજને વિદેશમાં અભ્યાસ અને કામ માટે વિઝા કઢાવવાના હતા. એક ભેજાબાજે પોતાના પાડોશી પરિવારને છેતરીને 7 લાખ 75 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. ફરિયાદી અમિતકુમાર સુરેશભાઈ પટેલે આરોપી મિલીનભાઈ ઇન્દ્રવદનભાઈ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર અમિતકુમાર પટેલને તેમના પુત્ર હેત અમિતકુમાર પટેલ અને ભાણેજ હેત લોમેશ પટેલને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવા માગતા હતા. તેઓ કંડારી ગામમાં રહેતા છે અને ગૃહ ઉદ્યોગ ચલાવે છે. આરોપી મિલીનભાઈ પટેલ, જેઓ પાડોશમાં રહે છે અને વિઝા સંબંધિત કામ કરે છે, તેમની સાથે પરિવાર જેવા સંબંધો હોવાથી ફરિયાદીએ તેમનો સંપર્ક કર્યો હતો. તા. 7 જુલાઈ 2025ના રોજ ફરિયાદીએ આરોપીની માંજલપુર સ્થિત PM ઓવરસીસની ઓફિસમાં મુલાકાત કરી હતી. ત્યાં આરોપીએ બંને યુવાનો માટે ફ્રાન્સ (પેરિસ)ના સ્ટુડન્ટ વિઝા કઢાવવાનું વચન આપ્યું હતું અને તરત જ 25,000 રૂપિયા રોકડા લીધા હતા. જોકે, થોડા દિવસો પછી આરોપીએ જણાવ્યું હતું કે, માર્ક્સ ઓછા હોવાથી ફ્રાન્સ વિઝા શક્ય નથી અને તેના બદલે પોલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે સલાહ આપી હતી. તેમાં વિઝા, એર ટિકિટ, વર્ક પરમિટ અને અન્ય ખર્ચ મળીને એક વ્યક્તિ માટે 7 લાખ 50 હજાર રૂપિયા અને બંને માટે કુલ 15 લાખ રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. ફરિયાદીએ સંમતિ આપતાં તા. 16 જુલાઈ 2025ના રોજ 50 ટકા પેમેન્ટ તરીકે 7 લાખ 50 હજાર રૂપિયા બેંક ઓફ બરોડા દ્વારા ચેકથી આરોપીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ કામ શરૂ થઈ ગયું છે તેમ કહીને વિશ્વાસ અપાવ્યો હતો. તા. 31 જુલાઈ 2025ના રોજ વોટ્સએપ પર પોલેન્ડ વર્ક પરમિટ મોકલ્યું હતું, પરંતુ ત્યારબાદ કોઈ પ્રગતિ થઈ ન હતી. જ્યારે ફરિયાદીએ ઓફિસમાં જઈને પૂછપરછ કરી તો આરોપીએ વર્ક પરમિટ ફાઈલ મૂકવાની તારીખ મળતી નથી તેમ કહીને કામ અડધેથી અટકી ગયું છે તેમ જણાવ્યું હતું. આખરે ફરિયાદીએ વિદેશ જવાનું કેન્સલ કરીને પૈસા પરત માગ્યા હતા. જોકે, આરોપીએ વાયદા કર્યા હતા અને તા. 7 ઓક્ટોબર 2025ના રોજ તેમની પત્ની આરોપીએ પ્રિયંકા મિલીન પટેલના જોઈન્ટ એકાઉન્ટનો 7 લાખ 75 હજાર રૂપિયાનો ચેક ભરીને આપ્યો હતો, જેની મુદ્દત 4 નવેમ્બર 2025 હતી. જોકે, જ્યારે આ ચેક બેંકમાં નાખવામાં આવ્યો તો તા. 5 નવેમ્બર 2025ના રોજ તે પરત આવ્યો અને બેંકે જણાવ્યું હતું કે, એકાઉન્ટ ડભોઈ પોલીસના લીગલ નોટિસને કારણે ફ્રીઝ કરવામાં આવ્યું છે. ફરિયાદીએ આરોપીને આ અંગે જાણ કરી તો તેણે પૈસા આપી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આજદિન સુધી પૈસા પરત આપ્યા નથી અને વર્ક પરમિટનું કામ પણ કર્યું નથી. આરોપી સતત ખોટા વાયદા કરીને છેતરપિંડી કરી રહ્યો છે. જેથી વેપારીએ આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:32 am

ભાવનગરમાં જૂની અદાવતમાં દંપતી પર હુમલો:લોખંડના પાઇપ અને ધારિયા વડે હુમલો, પતિ-પત્નીને ગંભીર ઈજા

ભાવનગર શહેરમાં જૂની અદાવતમાં એક દંપતી પર આઠ જેટલા શખ્સોએ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટના કુંભારવાડા વિસ્તારમાં બની હતી, જેમાં પતિ-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર, અજીતભાઈ લખમણભાઈ રાહાણી અને તેમના પત્ની મુક્તાબેન હેબતપુર ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં તેમની નવીનભાઈ રાહાણી સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની દાઝ રાખીને, સાંજના સમયે જ્યારે દંપતી અક્ષયપાર્ક સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે મનીષ, ભરત, કુબેર અને વિક્રમના દીકરા સહિત અન્ય અજાણ્યા આઠ જેટલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લાકડી, લોખંડના પાઈપ અને ધારિયા જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં અજીતભાઈ રાહાણીને બંને પગ અને હાથમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે તેમના પત્ની મુક્તાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને ટાંકા લેવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા બોરતળાવ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:28 am

વડોદરામાં ગટરનું ઢાંકણું ચોરી થવાના CCTV:તસ્કરો હવે ગટરના ઢાંકણા પણ છોડતા નથી, ગટર ખુલ્લી રહી જતા લોકોના જીવ જોખમમાં મુકાયા, માંજલપુરમાં થયેલી મોતની ઘટનાનું પુનરાવર્તન થતું રહી ગયું

વડોદરા શહેરના માંજલપુરમાં ગટરમાં પડતાં યુવકનું મોત થયું હતું. જેલ રોડ પર આવી ઘટના બનતાં રહી ગઈ હતી. સયાજી હોસ્પિટલ પાછળ સર્વિસ રોડ પર ગટરનું ઢાંકણું ગાયબ જણાતાં વોર્ડ 13નાં મહિલા કાઉન્સિલરે મોપેડ પર બેરિકેડ લઈ આવી ત્યાં મૂક્યું હતું. આ ઢાંકણું ચોરી થઈ હોવાના CCTV પણ સામે આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલ પાછળ જેલ રોડના સર્વિસ રોડ પર વરસાદી ગટરનું ઢાંકણું ગાયબ જણાતાં વોર્ડ 13નાં કાઉન્સિલર જાગૃતિ કાકાએ વોર્ડના સોશિયલ મીડિયા ગ્રૂપમાં જાણ કરી હતી. તેમણે કહ્યું કે, 20 મિનિટ સુધી કાર્યવાહી ન થતાં કોઠી ચાર રસ્તા પાસેથી ટ્રાફિક પોલીસનું બેરિકેડ લઈ આવી ખુલ્લા હોલ પાસે મૂક્યું હતું. સીસીટીવીમાં પેડલ રિક્ષામાં આવેલા 2 મજૂરો પૈકી એક ગટરનું ઢાંકણું ઉઠાવી જતો હોવાનું ખૂલ્યું છે. ઢાંકણું 13 જાન્યુઆરીએ સવારે 6 કલાકે ચોરાયું હતું અને 4 દિવસ સુધી એક પણ અધિકારી કે કર્મચારીને જાણ થઈ નહોતી. સયાજી હોસ્પિટલના પાછળના સર્વિસ રોડ પર રોજ વાહનો અને રાહદારીઓ પસાર થતા હોય છે. ત્યારે 4 દિવસથી ખુલ્લી ગટરમાં પડવાથી દુર્ઘટના બની હોત તો તેના માટે કોણ જવાબદાર થાત તે યક્ષ પ્રશ્ન છે. કાઉન્સિલરનું ધ્યાન જતાં માંજલપુર જેવી ઘટના અટકી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં આ પ્રકારે ગટરના ઢાંકણા ચોરી થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આ પહેલા પણ અનેક વખત ગટરના ઢાંકણા ચોરી થયા છે. આ પ્રકારે ઢાંકણા ચોરી છતાં લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. ત્યારે પોલીસ અને પાલિકા આ મામલે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:18 am

બુરખાધારી મહિલાએ માથામાં મોબાઈલના ઘા મારી લોહી કાઢી નાખ્યું, CCTV:સુરતમાં પેસેન્જરે BRTS બસ ડ્રાઇવરનો કોલર પકડી આડેધડ તમાચા માર્યા

સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા BRTS બસ માં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના વાય-જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઇવર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઇવર લોહીલુહાણ થયો છે અને હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે બસ સ્ટેશન પર ઉભી રહેતા જ મહિલા બસમાં ચડી હતી અને ત્યારબાદ ડ્રાઇવરનો કોલર પકડીને પહેલા તો તમાચા માર્યા હતા અને ત્યારબાદ તેની પાસે રહેલો મોબાઈલ ડ્રાઇવરના માથા પર મારી દીધો હતો જેથી તેને લોહી પણ નીકળવા લાગ્યું હતું. બસ અધવચ્ચે ઊભી રાખવાની ના પાડતાં મહિલા ગુસ્સે થઈમળતી વિગત મુજબ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત BRTS બસ શુક્રવારે વાય-જંકશનથી સુરત રેલવે સ્ટેશન તરફ જવા રવાના થઈ હતી. બસમાં સવાર એક મહિલા મુસાફરે અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઇવરને સૂચના આપી હતી. BRTS ના નિયમો મુજબ, બસ માત્ર નિયત કરેલા બસ સ્ટેન્ડ પર જ ઊભી રહી શકે છે. જ્યારે ડ્રાઇવરે નમ્રતાપૂર્વક જણાવ્યું કે, બહેન, આગળ કોઈ સ્ટોપ નથી, એટલે બસ અહીં અધવચ્ચે ઊભી નહીં રહી શકે, ત્યારે મહિલા ગુસ્સે ભરાઈ હતી અને ડ્રાઇવર સાથે ઉગ્ર દલીલો કરવા લાગી હતી. ત્યારબાદ તે બસમાંથી ઉતરી ગઈ હતી. મહિલાએ ડ્રાઇવરનો કોલર પકડી લીધોબીજા દિવસે એટલે કે ગત રોજ શનિવારે બસ જ્યારે વેસુ વિસ્તારમાં આવેલી જે.એચ. અંબાણી સ્કૂલ પાસેના સ્ટેન્ડ પર પહોંચી, ત્યારે મહિલા બસમાં ચડીને સીધી ડ્રાઇવર પાસે પહોંચી ગઈ હતી. મહિલાએ કાયદાનો ડર રાખ્યા વિના ડ્રાઇવરની કેબિનમાં ઘસી ગઈ હતી. તેં મારી વાત કેમ ન માની અને ત્યાં બસ કેમ ઉભી ન રાખી? તેમ કહી મહિલાએ ડ્રાઇવરનો કોલર પકડી લીધો હતો. માથામાં મોબાઈલના ઘા મારી લોહી કાઢી નાખ્યુંઆટલેથી ન અટકતા, ઉશ્કેરાયેલી મહિલાએ ડ્રાઇવરને પહેલા તો તમાચા મારી દીધા હતા અને ત્યારબાદ પોતાના હાથમાં રહેલા સ્માર્ટફોન વડે ડ્રાઇવરના માથાના ભાગે જોરદાર પ્રહારો કર્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે ડ્રાઇવરને માથાના ભાગે ઈજા થઈ હતી અને બસમાં જ લોહીના ટપકા પડવા લાગ્યા હતા. CCTVમાં કેદ થઈ મહિલાની દાદાગીરીઆ સમગ્ર ઘટના બસની અંદર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મહિલા ડ્રાઇવર સાથે ઝઘડો કરી રહી છે અને ત્યારબાદ અચાનક હુમલો કરી દે છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરજ પર રહેલા સરકારી કે જાહેર સેવાના કર્મચારીઓ પર થતા આવા હુમલાઓ ચિંતાનો વિષય બન્યા છે. ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરીહુમલાનો ભોગ બનેલા ડ્રાઇવરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ડ્રાઇવરે હિંમત દાખવીને આ મામલે વેસુ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસના જણાવ્યા અનુસાર, CCTV ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને શારીરિક ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આસપાસના મુસાફરોના નિવેદનો પણ લેવામાં આવશે. મુસાફરોમાં ફફડાટ અને રોષBRTSમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આવી ઘટનાઓને કારણે બસના ચાલકોમાં પણ અસલામતીની લાગણી જન્મી છે. અન્ય મુસાફરોએ પણ મહિલાની આ હરકતની નિંદા કરી છે અને માંગ કરી છે કે આવી 'દાદાગીરી' કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:16 am

સોમનાથમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ગંભીર ઘટના:પુરપાટ ઝડપે આવતી રીક્ષાએ મહિલા રાહદારીને અડફેટે લીધી, મહિલા રાહદારીને માથામાં ગંભીર ઇજા

ધાર્મિક નગરી સોમનાથમાં રવિવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રભાસ પાટણ ઝાપા નજીક આવેલ શિવ પોલીસ ચોકી સામે પુરપાટ ઝડપે દોડી રહેલી રીક્ષાએ એક મહિલા રાહદારીને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, અકસ્માત સવારે અંદાજે 6:30 વાગ્યાના સુમારે થયો હતો. રસ્તા પર ચાલી રહેલી 45 વર્ષીય મંજુબેન કિસનભાઈ નામની મહિલાને રીક્ષા નં. GJ 32 U 2084ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા અડફેટે લીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ રીક્ષા ચાલક કોઈ મદદ કર્યા વિના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જેના કારણે આ ઘટના હિટ એન્ડ રન તરીકે નોંધાઈ છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર માટે પ્રભાસ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે તેમને આદિત્ય બિરલા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પ્રભાસ પાટણ પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી અને આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તેમજ વાહન નંબરના આધારે નાસી છૂટેલા રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળ્યો છે. લોકો દ્વારા શિવ પોલીસ ચોકી આસપાસ વારંવાર થતી ટ્રાફિક અશિસ્ત અને ઝડપી વાહનચાલન પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે. વહેલી સવારે પણ જો આ રીતે બેદરકારીપૂર્વક વાહનો દોડાવવામાં આવશે તો મોટી જાનહાની થવાની શક્યતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. હાલતો ઈજાગ્રસ્ત મહિલાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પોલીસ દ્વારા આરોપી રીક્ષા ચાલકને ઝડપથી પકડવા માટે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:12 am

42 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત, ભવિષ્ય જોખમમાં:'આપ' વિદ્યાર્થી પાંખ દ્વારા કોલેજ સામે ઉગ્ર વિરોધ

પોરબંદરની એક કોલેજમાં વહીવટી બેદરકારીના કારણે 42 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા છે, જેનાથી તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોલેજ તંત્રની બેદરકારીને કારણે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી. ગુજરાત આપ વિદ્યાર્થી પાંખના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ કોલેજ તંત્ર અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધાર્મિક માથુકિયાએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તેઓ કોલેજ કેમ્પસની અંદર શાંતિપૂર્ણ રીતે વિદ્યાર્થીઓના હિત માટે રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે વહીવટી તંત્રે પોલીસનો સહારો લઈ તેમને કેમ્પસની બહાર ધકેલી દીધા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસ દ્વારા FIR કરવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના છ મહિના અને શૈક્ષણિક વર્ષ બગડતા, 'આપ'ના કાર્યકરો અને નેતાઓ કડકડતી ઠંડીમાં પણ મધરાતે ફૂટપાથ પર બેસીને આંદોલન ચલાવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કાર્યકરો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓમાં પરીક્ષાથી વંચિત રહેલા 42 વિદ્યાર્થીઓને થયેલા માનસિક અને શૈક્ષણિક નુકસાન બદલ પ્રત્યેકને રૂ. 5 લાખનું વળતર આપવું, જવાબદાર કોલેજ સત્તાધીશો સામે કડક પગલાં લેવા અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી શામેલ છે. ધાર્મિક માથુકિયાએ અંતમાં જણાવ્યું હતું કે, ભલે તેમને કેમ્પસની બહાર કાઢવામાં આવ્યા હોય, પણ તેમનું આંદોલન અટકશે નહીં. જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી લડત ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:09 am

બાળકોથી લઈ મોટેરાઓ ઝૂમી ઉઠ્યા:રાજકોટનાં રેસકોર્સમાં ડાન્સ, રંગોળી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચેસની રમઝટ જામી, 2 હજારથી વધુએ વિસરાયેલી 30 જેટલી રમતોનો આનંદ માણ્યો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા સ્વચ્છતા માટે ખાસ એક દિવસની ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રેસકોર્સમાં આવેલી આર્ટ ગેલેરી નજીક મોબાઈલ ભૂલી બાળકોએ જૂની વિસરાયેલી 30 રમતોનો આનંદ માણ્યો હતો. અને ડાન્સ, રંગોળી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચેસ સહિતની રમતોની રમઝટ જામી હતી. બાળકો જ નહીં મોટેરાઓ પણ મોટી સંખ્યામાં વિસરાયેલી રમતોનો આનંદ માણવા પહોંચ્યા હતા. અને 30 જેટલી રમતોની મજા માણી હતી. અને દર રવિવારે ફનસ્ટ્રીટ યોજવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી. ફનસ્ટ્રીટનાં આયોજક જીતુ ગોટચાએ જણાવ્યું હતું કે, ચિત્રનગરી દ્વારા સ્વચ્છતા માટે આજે ખાસ ફનસ્ટ્રીટનું આયોજન કરાયું છે. જેમાં અંદાજે 2 હજાર કરતા વધુ લોકોએ જૂની વિસરાયેલી રમતોનો આનંદ માણ્યો હતો. આજે મોબાઈલના યુગમાં લોકો ફીઝીકલ ગણાય તેવી જૂની રમતો રમવાનું ભૂલ્યા છે. જોકે આવી રમતો રમવી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી હોય છે. ત્યારે ચિત્રનગરી દ્વારા મનપાનાં સહયોગથી ફનસ્ટ્રીટનું આયોજન કરાય છે. શાળાએ જવા માટે નહીં ઉઠતા બાળકો સામેથી ઉઠી ગયા હતા. અને વહેલી સવારથી માતા-પિતા સાથે અહીં પહોંચ્યા હતા. નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો પણ ફનસ્ટ્રીટમાં જૂની વિસરાઈ ગયેલી રમતો રમ્યા હતા. ફનસ્ટ્રીટમાં આવનાર સોનલબેન પરમારે જણાવ્યું હતું કે, હું સૌપ્રથમ વખત ફનસ્ટ્રીટમાં આવી છું. અહીં દોરડા ખેંચ, કોથળા દોડ, ડાન્સ સહિતની વિવિધ ગેમ્સ જોઈને મને ખુબ આનંદ થયો છે. નાનાથી લઈને મોટેરા સુધી તમામ લોકો રમી શકે તેવી ગેમ્સનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફીઝીકલ રીતે ફિટ રહેવા માટે લોકોએ ચોક્કસ અહીં આવવું જોઈએ. મેં પણ આજે બાળકો સાથે ઘણી રમતોનો આનંદ મેળવ્યો છે. કંચનબેન નામના મહિલાએ જણાવ્યું હતું કે, આજે મોબાઈલ યુગમાં બાળકો માથું ઊંચું કરતા નથી. ત્યારે ફનસ્ટ્રીટમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ મોબાઇલ ભૂલીને અહીં વિવિધ રમતો રમતા જોવા મળે છે. હાલમાં અહીં સવારે 8થી 10નો સમય રાખવામાં આવ્યો છે. જે ખરેખર ઓછો છે, ત્યારે સમય વધારવો જોઈએ. અને દરેક રવિવારે ફનસ્ટ્રીટનું આયોજન કરવું જોઈએ. પરિમલ પ્રિયંકાએ જણાવ્યું હતું કે, આજે અમે લોકો અહીં આવ્યા છીએ. બહુ સારું આયોજન છે. અમને અહીં આવીને બાળપણ યાદ આવી ગયું છે. અહીં અમે પણ દોરડા ખેંચ સહિતની રમતો રમ્યા છીએ. અને ગરબા તેમજ ડાન્સની મજા માણી છે. ત્યારે આગામી સમયમાં પણ નિયમિત રીતે ફન સ્ટ્રીટનું આયોજન થવું જોઈએ. પલક વાઢેરે જણાવ્યું હતું કે, આ ફનસ્ટ્રીટ દરમિયાન બાળકો કોથળા દોડ, લંગડી, જેવી રમતો રમે છે. તો યુવાનો ડાન્સ કરવાની સાથે ચેસ સહિતની રમતો રમતા જોવા મળે છે. અમે પણ ડાન્સ સહિતની વિવિધ રમતો રમીને આનંદ માણ્યો છે. ઘણા લાંબા સમય બાદ અહીં ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછું સપ્તાહમાં એકવાર એટલે કે દર રવિવારે ફનસ્ટ્રીટનું આયોજન થવું જોઈએ તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ફનસ્ટ્રીટમાં બાળકોની સાથે જ વૃદ્ધોએ પણ લીંબુ ચમચી સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. કેટલાક યુવાનો અને વૃદ્ધો દોરડાઓ કૂદતા નજરે પડ્યા હતા. આ ફનસ્ટ્રીટ દરમિયાન રંગીલું ગણાતું રાજકોટ વિવિધ રમતના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. જોકે સામાન્ય રીતે ઉનાળામાં યોજાતી આ ફનસ્ટ્રીટ પ્રથમવાર શિયાળામાં યોજાઈ હતી. જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને એક જ રવિવાર માટે યોજાયેલી ફનસ્ટ્રીટ દર રવિવારે યોજાય તેવી માંગ અહીં આવનારા લોકોએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:08 am

વેરાવળના બ્રિજ કામમાં વિલંબ થતાં ધારાસભ્યનો પિત્તો ગયો:GUDC એન્જિનિયરને જાહેરમાં ખખડાવ્યાં, વિમલ ચુડાસમાએ કહ્યું- 'ખોટી દલીલ ન કરતા, હું પાછળ પડીશ તો બીજા કામે લાગી જઈશ'

વેરાવળ શહેરમાં વિકાસના નામે લોકો સાથે થતી અવગણના હવે અસહ્ય બની ગઈ છે. GUDC હસ્તક શહેરના બે રેલવે ફાટક પર બની રહેલા બે ઓવરબ્રિજના કામો ‘ગોકળગતી’એ ચાલતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દોઢ વર્ષમાં પૂરું થવાનું કામ સાડા ત્રણ વર્ષ વીતી જવા છતાં અધૂરું રહેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રમક મૂડમાંઆ ગંભીર સ્થિતિને પગલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રમક મૂડમાં કામના સ્થળે દોડી આવ્યા હતા. નગરસેવકો અને જવાબદાર અધિકારીઓની હાજરીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ GUDCના એન્જિનિયરને જાહેરમાં ખખડાવ્યો હતો. ‘24 વર્ષની રાજનીતિમાં તારા જેવા કેટલાય એન્જિનિયર આવીને વયા ગયા’સ્થળ મુલાકાત દરમિયાન જ્યારે GUDCના એન્જિનિયર નયન પરમાર દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી, ત્યારે ધારાસભ્યનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તું ખોટી દલીલ મારી પાસે ન કરતો. તારી ખોટી દલીલ નહિ ચાલે. હું પાછળ પડીશને તો ખોટા બીજા કામે લાગી જઈશ. મારી પાસે ખોટી હોશિયારી કરવામાં તારી બુદ્ધિ ન વાપર. અમારી 24 વર્ષની રાજનીતિમાં તારા જેવા કેટલાય એન્જિનિયર આવીને વયા ગયા. મારી ઉંમર 46 થઈ ગઈ છે એટલે 24 વર્ષમાં કેટલાય એન્જીનીયર જોયા છે. ‘ચાર વર્ષ થવા આવ્યા કામ હજુ અધૂરું છે’વધુમાં જણાવ્યું કે, તમે કામ નથી કર્યું એટલે મારે આવવું પડ્યું છે. સલાહ આપવાના બદલે કામ કરો, ચાર વર્ષ થવા આવ્યા કામ હજુ અધૂરું છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાવર્ષ 2022માં શરૂ થયેલી આ યોજના હવે ચાર વર્ષ તરફ ધકેલાઈ રહી છે, છતાં પણ ઓવરબ્રિજનું મોટાભાગનું કામ અધૂરું છે. રેલવે ફાટક પર લાંબી ટ્રાફિક લાઈનો, એમ્બ્યુલન્સ અને સ્કૂલ વાહનોને પડતી મુશ્કેલીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સરકારી યોજના ટલ્લે ચડીધારાસભ્યે સીધો આક્ષેપ કર્યો કે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સરકારી યોજના ટલ્લે ચડી છે. વિકાસના કામોમાં વિલંબ એટલે સીધો જનતાનો સમય, પૈસા અને સલામતી સાથે ખેલ. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્પષ્ટ ચેતવણી આપી કે, હવે કોઈ બહાનું નહીં ચાલે. જો તાત્કાલિક કામમાં ગતિ નહીં આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે અને મુદ્દો ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવશે. વેરાવળની જનતા હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ દેખાતો વિકાસ માંગે છે. પ્રશ્ન એક જ છે શું હવે તંત્ર જાગશે કે લોકોની મુશ્કેલી યથાવત્ રહેશે? આ સમાચાર પણ વાંચોધારાસભ્યના ખનીજ ચોરીના આક્ષેપોના 24 કલાકમાં જ ખાણખનીજની ટીમ ત્રાટકી ગીર સોમનાથના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ખનીજચોરીને લઈ ગંભીર આક્ષેપો કર્યા હતા. ખાણખનીજ અધિકારીને લોકેશન મોકલ્યા હોવા છતા કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. ધારાસભ્યએ કરેલા આક્ષેપોના 24 કલાકમાં જ ખાણખનીજની ટીમ જાણે સફાળી જાગી હોય તે રીતે માંગરોળ પંથકમાં ત્રાટકી હતી. માંગરોળના દિવાસામાં ધમધમતી પથ્થરની ચાર ગેરકાયદે ખાણ ઝડપી પાડી હતી. અહિં ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો કોંગ્રેસના ધારાસભ્યની પોલીસને ધમકી-ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ' જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતરી જવાનું નિવેદન કર્યા બાદ ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ પોલીસકર્મીને જાહેરમાં ખખડાવ્યાં હતા. અકસ્માત કેસની નોંધ કરતી સમયે પોલીસકર્મીએ મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરી દીધાનો આક્ષેપ કરી વિમલ ચુડાસમાએ ધમકી આપતા કહ્યું હતું કે, ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ? પોલીસકર્મી અને ધારાસભ્ય વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થયો હતો. અહિં ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 10:04 am

અમદાવાદના વૈષ્ણદેવી સર્કલ પાસે ST બસ-કારની જોરદાર ટક્કર, એકનું મોત:ત્રણથી વધુ ઈજાગ્રસ્ત; પૂર ઝડપે જતી 9 નંબરની ફોર્ચ્યુંનર ડિવાઇડર કુદીને સામેના રોડ પર જતી રહી, ટુકડે-ટુકડા

આજે વહેલી સવારે અમદાવાદના વૈષ્ણદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં ફોર્ચ્યુનર કાર નંબર GJ 18 EF 9નો કચ્ચરઘાણ બોલી ગયો છે. રોડ પર કારના ટુકડાઓ વિખેરાયેલા દેખાઈ રહ્યાં છે. અકસ્માતને પગલે વહેલી સવારે ટ્રાફિકજાનના દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 18 જાન્યુઆરીને રવિવારના વહેલી સવારે પૂર ઝડપે જઈ રહેલી ફોર્ચ્યુંનર કાર ડિવાઇડર કુદીને સામેના રોડે જઈ રહેલી એસટી બસ સાથે અથડાતા એસટી બસ ડિવાઈડર પર ચડી સામેના રોડ પર જતી રહી હતી. આ અકસ્માતમાં એક બ્રેઝા કારને પણ નુકસાન થતાં કારનું કચ્ચરઘાણ મળી ગયો છે. ઘટનાસ્થળે હાલ પોલીસે પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 9:54 am

BMCમાં જીતીને પણ હારી ગયું ભાજપ? આખરે કઈ વાતને લઈને પાર્ટીમાં અંદરો-અંદર મંથન શરૂ

BMC Election News : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ઐતિહાસિક 89 બેઠકો જીતવા છતાં, ભારતીય જનતા પાર્ટી (BJP) પરિણામથી સંપૂર્ણપણે ખુશ નથી. 2002 પછી કોઈ પણ પક્ષ દ્વારા એકલા હાથે જીતવામાં આવેલી આ સૌથી વધુ બેઠકો હોવા છતાં, પાર્ટીના આંતરિક સૂત્રો તેને અપેક્ષાઓથી ઓછું પ્રદર્શન ગણાવી રહ્યા છે. ભાજપે ઓછામાં ઓછી 110 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તે તેનાથી ઘણું પાછળ રહી ગયું, જેના કારણે હવે ચૂંટણી પ્રચારમાં શું ખોટું થયું તેની આંતરિક સમીક્ષા શરૂ થઈ ગઈ છે. જીત છતાં અપેક્ષા મુજબનું પ્રદર્શન નહીં પાર્ટીના નેતાઓ આ નિરાશાજનક પ્રદર્શન માટે મુખ્યત્વે ત્રણ કારણોને જવાબદાર ગણાવી રહ્યા છે: મુંબઈ એકમમાં સંકલનનો અભાવ, ઉમેદવારોની પસંદગીમાં ખામીઓ અને રાજ-ઉદ્ધવ ઠાકરે દ્વારા ઉઠાવવામાં આવેલા 'મરાઠી અસ્મિતા અને મુંબઈ ગૌરવ'ના મુદ્દાનો અસરકારક રીતે સામનો ન કરી શકવો.

ગુજરાત સમાચાર 18 Jan 2026 9:45 am

અસ્ટોલ પાણી પુરવઠા લાઈન ટેસ્ટિંગમાં હજારો લીટર પાણી વેડફાયું:વલસાડના કુંડી ગામે પાણીનો બગાડ થયો હોવાનો વીડિયો વાયરલ, કામગીરી સામે સવાલ ઉઠ્યા

વલસાડ તાલુકાના કુંડી ગામમાંથી પસાર થતી અસ્ટોલ જૂથ પાણી પુરવઠા લાઈનના ટેસ્ટિંગ દરમિયાન હજારો લીટર પીવાનું પાણી વેડફાયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સંબંધિત વિભાગ દ્વારા વલસાડ તાલુકાના સરોણ, કુંડી, શંકર તળાવ, ડુંગરી અને વાઘલધરા અસ્ટોલ જૂથ પાણી પુરવઠા લાઈનનું ટેસ્ટિંગ અને વાલ્વ ચેકિંગ શનિવારે હાથ ધરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન, અસ્ટોલ જૂથ પાણી પુરવઠા લાઈનમાં આવેલા સમ પરના વાલ્વ અને લાઈનનું ચેકિંગ કરાયું હતું. ઘણી જગ્યાએ પાણીના વાલ્વમાંથી પાણી લીક થતું જોવા મળ્યું હતું, જેના કારણે પીવાના પાણીના ફુવારા ઉડ્યા હતા. મોટી સરોણ, કુંડી, શંકર તળાવ, ડુંગરી અને વાઘલધરા સુધીના અનેક સ્થળોએ પાણીનો આ બગાડ જોવા મળ્યો હતો. પાણીના આ મોટા પાયે થતા બગાડ સામે સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ટેસ્ટિંગ દરમિયાન વાલ્વ પાસે કોઈ ટેકનિકલ ટીમ કે સ્ટાફ હાજર ન હોવાથી વિભાગની કામગીરી અને અધિકારીઓની ગેરહાજરી અંગે સવાલો ઉઠ્યા હતા. કુંડી ગામના એક જાગૃત નાગરિકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અસ્ટોલ જૂથ પાણી પુરવઠાની બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવા માટે વિભાગ દ્વારા હાલમાં પ્રયાસો કરાઈ રહ્યા છે. ટેસ્ટિંગ દરમિયાન વાલ્વ અને લાઈનના જોઈન્ટ્સ ચેક કરવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ હજુ વાલ્વ નાખવાના બાકી છે, જે આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે તેમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 9:04 am

વલસાડની કૈલાશ ઓવારા શાળા વિવાદમાં, ગેરકાયદે બાંધકામનો આરોપ:શિક્ષણ વિભાગે સંચાલકોને નોટિસ ફટકારી, જમીન વેચાણની તપાસ શરૂ

વલસાડ શહેરને અડીને આવેલા પારડી સાંઢપોર વિસ્તારમાં આવેલી કૈલાશ ઓવારા માધ્યમિક શાળા જમીન અને બાંધકામ વિવાદને કારણે ચર્ચામાં આવી છે. શાળાના પરિસરમાં બિલ્ડર દ્વારા કરવામાં આવી રહેલા કથિત ગેરકાયદેસર બાંધકામને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું છે કે, પારડી સાંઢપોર સ્થિત કૈલાશ ઓવારા માધ્યમિક શાળાના પરિસરમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મામલે શિક્ષણ નિરીક્ષક તેજસ પટેલે 16મી જાન્યુઆરી 2026 ના રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન શાળાના આચાર્ય દ્વારા બાંધકામ કે જમીન સંબંધિત કોઈ જરૂરી આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. પ્રાથમિક વિગતો મુજબ, આ શાળા વર્ષ 1964થી ભાડા કરાર પર ચાલી રહી છે, પરંતુ જમીન માલિકે વર્ષ 2012માં સંસ્થાને જાણ કર્યા વિના જ જમીન અન્યને વેચી દીધી હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લઈને શાળાના પ્રમુખ અને આચાર્યને 19 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 11:30 કલાકે વલસાડ કચેરી ખાતે હાજર રહેવા આદેશ આપ્યો છે. સંચાલકોએ તમામ કાયદેસરના દસ્તાવેજો અને સાધનિક કાગળો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે. નગર આયોજન વિભાગ દ્વારા આપવામાં આવેલા ટેકનિકલ અભિપ્રાયમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈ પણ વિવાદિત જમીન પર બાંધકામ કરી શકાશે નહીં અને ગ્રામ પંચાયતની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. શિક્ષણ વિભાગે ખાતરી આપી છે કે, વિદ્યાર્થીઓના હિત અને તેમના અભ્યાસના મેદાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડના પારડી સાંઢપોર ગામે આવેલી APMC માર્કેટની જગ્યામાં વલસાડ વિભાગ લોક સેવક સંઘ સંચાલિત કૈલાશ ઓવારા માધ્યમિક શાળાના બે ક્લાસમાં 50થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંઘના પ્રમુખે જણાવ્યું કે, APMC દ્વારા જમીન વેચી દેવામાં આવી ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે 700 વારની જગ્યામાં મકાન તેમજ રમતગમત માટે કોમન પ્લોટ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, વલસાડ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન ભરત પટેલે જણાવ્યું કે, પારડી સાંઢપોર ગામે આવેલી જગ્યા વર્ષોથી એમ જ પડેલી હોવાથી શાળાની જગ્યા બાકી રાખી બાકીની જગ્યા જાહેરાત આપી બિલ્ડરને વેચાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 8:59 am

ઉમરગામમાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ:લગ્નની લાલચ આપી યુવકે કૃત્ય આચર્યું; પોક્સો હેઠળ ફરિયાદ

વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં એક 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ મામલે ઉમરગામ પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સગીરાના પડોશમાં રહેતા 18 વર્ષીય રોહિત સંતોષ યાદવ નામના યુવકે તેનો મોબાઈલ નંબર મેળવી મિત્રતા કેળવી હતી. મિત્રતા દરમિયાન તેણે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીએ 1 જુલાઈ 2025 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની તબિયત લથડતા પરિવારજનોએ તેની તપાસ કરાવી હતી, જેના પગલે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતા આરોપી યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉમરગામ પોલીસે સગીરાનું નિવેદન નોંધી મેડિકલ તપાસ કરાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 8:39 am

મોડાસામાં લગ્ન ગીતોત્સવનું આયોજન:ભારત વિકાસ પરિષદ દ્વારા ભુલાતી જતી સંસ્કૃતિને પુનઃજીવિત કરવાનો અનોખો પ્રયાસ

ભારત વિકાસ પરિષદ, મોડાસા શાખા દ્વારા પરંપરાગત લગ્નગીતોને પુનર્જીવિત કરવાના ઉમદા હેતુથી એક અનોખા 'લગ્ન ગીતોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોડાસાના વિવેકાનંદ સોસાયટી હોલમાં યોજાયો હતો. આ ઉત્સવમાં 100થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ગણેશ સ્થાપનાથી લઈને વિદાય સુધીના વિવિધ 15 લગ્નગીતોની પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને જાણે લગ્ન મંડપમાં બેઠા હોય તેવો અનુભવ કરાવ્યો હતો. આધુનિક યુગમાં ડીજેના વધતા ચલણ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે પરંપરાગત લગ્નગીતો વિસરાઈ રહ્યા છે. એક સમયે લગ્ન પ્રસંગોની શોભા ગણાતા આ મંગળ ગીતો આજની પેઢી માટે અજાણ્યા બની રહ્યા છે. આ વિરાસતને આવનારી પેઢી સુધી પહોંચાડવા અને હિન્દુ સંસ્કૃતિનું જતન કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદનો ઉદ્દેશ્ય સંસ્કારોનું સિંચન કરતા આ મીઠા ગીતોને ફરી જીવંત કરવાનો છે. કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સંયોજિકા મિત્તલબેન સોની અને મેઘાબેન શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. લગ્ન ગીતોત્સવમાં જોડાયેલી તમામ 100થી વધુ મહિલાઓને ભારત વિકાસ પરિષદ, મોડાસા શાખા દ્વારા ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પહેલને સમાજ દ્વારા બિરદાવવામાં આવી હતી, જેણે વિસરાતી જતી પરંપરાને ફરી જીવંત કરવાનો સંદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 8:30 am

સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, RBI એ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા

Silver and Gold News : ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશમાં સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે બુલિયન એટલે કે સોના અને ચાંદીની આયાત માટે એડવાન્સ રેમિટન્સ (એડવાન્સ ચુકવણી)ની ફેસિલિટી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બુલિયન આયાતકારો અને ટ્રેડરોમાં ખળભળાટ મચી ગયો છે. મની લોન્ડરિંગ અને ફોરેન પેમેન્ટના દુરુપયોગને રોકવા માટે આરબીઆઈનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ક્રૂડ ઓઈલ અને સોનું ભારતમાં સૌથી વધુ આયાત થતા પ્રોડક્ટોમાંનું એક છે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 8:28 am

વલસાડમાં બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ:શિક્ષણ વિભાગે 'આત્મવિશ્વાસ હેલ્પલાઇન'નો પ્રારંભ કર્યો

વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 'આત્મવિશ્વાસ હેલ્પલાઇન' શરૂ કરી છે. ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી પરીક્ષાઓ પૂર્વે વિદ્યાર્થીઓમાં જોવા મળતા તણાવ, ભય અને ચિંતા દૂર કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. આ હેલ્પલાઇન અંતર્ગત વલસાડ સિવિલ હોસ્પિટલના માનસિક તજજ્ઞ ડૉ. વિરેન્દ્ર સોલંકી દ્વારા માનસિક સલાહ અને કાઉન્સેલિંગ આપવામાં આવશે. આ ઉપરાંત, ધોરણ 10 અને 12 (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ના કુલ 56 વિષયોના અનુભવી શિક્ષકો દ્વારા વિષયવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે જણાવ્યું હતું કે, પરીક્ષા માત્ર જ્ઞાનની જ નહીં, પરંતુ માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસની પણ કસોટી છે. તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને શૈક્ષણિક કે માનસિક મૂંઝવણ સમયે આ હેલ્પલાઇનનો નિઃસંકોચ ઉપયોગ કરવા અપીલ કરી હતી. બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓમાં ડર અને માનસિક તણાવ સામાન્ય રીતે જોવા મળે છે. આ પરીક્ષાનો હાઉ દૂર કરવા અને તેમને વિષયવાર માર્ગદર્શન આપવા માટે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ વિશેષ પહેલ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન 15 જાન્યુઆરીથી 18 માર્ચ સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ મોડી રાત્રે પણ કોઈ પ્રશ્નમાં મૂંઝવણ અનુભવે તો ફોન દ્વારા નિષ્ણાતોનો સંપર્ક કરી શકશે, જે 24/7 સુવિધા પૂરી પાડે છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા મુખ્ય વિષયો માટે તજજ્ઞ શિક્ષકો માર્ગદર્શન આપશે. પરીક્ષાના ડર, ચિંતા કે ઘરના વાતાવરણને કારણે થતી માનસિક અસરો માટે સાઇકિયાટ્રિસ્ટની મદદ પણ ઉપલબ્ધ રહેશે. વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ સરળતાથી મળે તે માટે તમામ વિષય નિષ્ણાતોના નામ અને મોબાઈલ નંબરની યાદી જિલ્લાની દરેક શાળાના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ આ નંબરોનો પ્રસાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આ હેલ્પલાઇન ખૂબ સફળ રહી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ વીડિયો કોન્ફરન્સ અને ફોન કોલ્સ દ્વારા પોતાની શૈક્ષણિક મૂંઝવણો દૂર કરી હતી. આ વર્ષે પણ જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ તણાવમુક્ત બની પરીક્ષા આપી શકે તેવો પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 8:16 am

હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે નકલી? કેન્દ્ર સરકારે શરૂ કરી સુવિધા

QR Code on Medicine : ઉત્તર ભારતની બોગસ કંપનીઓમાં બનતી અને ગુજરાતના બજારમાં ઘૂસાડી દેવામાં આવતી દવા અસલી છે કે નકલી છે તે પારખી લેવા માટે ક્યૂઆર કોડથી સ્કેન કરવાની સિસ્ટમ આવી ગઈ છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સક્રિય ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશને ક્યૂઆર કોડની આ સિસ્ટમ ચાલુ કરી છે. ટોલફ્રી નંબર 18001803024 પર તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવીને તમે દવાની સ્ટ્રીપ પર લગાડવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરીને દવા અસલી કંપનીની છે કે નકલી કંપનીની છે તેનો ક્યાસ કાઢી શકો છો. તમને ક્યૂઆર કોડ સ્કેન કરતાં દવા શંકાસ્પદ જણાય તો અહીં આપેલા ટોલ ફ્રી નંબર પર તેની ફરિયાદ પણ કરી શકાય છે. અત્યાર સુધીમાં 262 દવાઓને ક્યૂઆર કોડથી સ્કેનિંગ કરવાની સિસ્ટમ હેઠળ લાવી લેવામાં આવી છે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 8:14 am

મુંબઈ-અમદાવાદ હાઈવે પર 19-20 જાન્યુઆરીએ ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર:'લોન્ગ માર્ચ'ને કારણે ગુજરાતથી મહારાષ્ટ્ર આવતા ભારે વાહનોને પ્રવેશબંધી

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 19 અને 20 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનારી 'લોન્ગ માર્ચ'ને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા પાલઘરમાં આયોજિત આ મોરચાને ધ્યાનમાં રાખીને, અપર જિલ્લાધિકારી સુભાષ ભાગડે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) અને અન્ય સંગઠનો દ્વારા 'જલ-જંગલ-જમીન'ના પ્રશ્નો પર ચારોટી નાકાથી પાલઘર જિલ્લાધિકારી કચેરી સુધી આ મોરચો કાઢવામાં આવશે. આ મોરચામાં અંદાજે 10 થી 11 હજાર લોકો જોડાવાની શક્યતા છે. નેશનલ હાઈવે 48 પર ગુજરાતથી મુંબઈ તરફ જતી લેન પર આ મોરચો નીકળવાનો હોવાથી અકસ્માત ટાળવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. આ ફેરફાર અંતર્ગત, 19 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી અને 20 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી રહેશે. ગુજરાત તરફથી પાલઘર, ઘોડબંદર, ઠાણે, મુંબઈ અને નવી મુંબઈ તરફ જતાં તમામ પ્રકારના ભારે અને અતિ-ભારે વાહનોને 'અચ્છાડ નાકા' થી આગળ પ્રવેશ મળશે નહીં. હલકા વાહનો માટે વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. વાહનચાલકો મહાલક્ષ્મી બ્રિજ – વાઘાડી – કાસા – તલવાડા – વિક્રમગઢ – પાલી ફાટા – વાડા/મનોર થઈને આગળ વધી શકે છે. બીજો વિકલ્પ ચારોટી નાકા – સારણી – નિકાવલી – આંબોલી – મસાડા – પેઠ – આંબેડા – ચિખલીપાડા – ચિંચપાડા થઈને જવાનો છે. ભારે વાહનોને રોકવા માટે અચ્છાડ નાકાથી આંબોલી વચ્ચે આવેલી હોટલો, ઢાબા, પેટ્રોલ પંપ અને સુરક્ષિત પાર્કિંગ સ્થળોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, પોલીસ વાહનો, મહેસૂલ વિભાગના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવાઓના વાહનો તેમજ સક્ષમ અધિકારીની પરવાનગી ધરાવતા વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 8:09 am

માળિયાના રાસંગપર પાસે ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો:વીજ કંપની દ્વારા વળતર વગર પોલ ઉભા કરતાં વિરોધ નોંધાવ્યો, હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યાં

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રાસંગપર ગામ પાસે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે ચક્કાજામ કર્યો હતો. હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઇનના પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વળતરની સ્પષ્ટતા વગર કામગીરીનો વિરોધ કર્યો હતો. આ ઘટના મોડી રાત્રે બની હતી. કંપની રાસંગપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 765 કેવીની હેવી લાઇન પસાર કરી રહી છે. ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવા અને વીજ વાયરનો કોરિડોર પસાર કરવા માટે કંપની દ્વારા શું અને ક્યારે વળતર આપવામાં આવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ સ્પષ્ટતા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ હતી. આના વિરોધમાં ખેડૂતોએ પહેલા બપોરના સમયે કામ બંધ કરાવ્યું હતું. તેમણે માગ કરી હતી કે, વીજ પોલનો સામાન ખેતરમાંથી ઉપાડી લેવામાં આવે, કારણ કે તેમને વળતર મળ્યું ન હતું. જોકે, મોડી સાંજ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા સામાન હટાવવામાં ન આવતા, રાસંગપરના અસરગ્રસ્ત ખેડૂત નરેન્દ્ર રંગપરિયા અને સરપંચ અમિત ઘુમલીયા સહિતના ખેડૂતોએ રાત્રે આઠ વાગ્યે કંડલા-જામનગર હાઈવેને રાસંગપર ગામના પાટિયા પાસે બંધ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ રહેતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા. ત્યારબાદ વીજ પોલ ઉભા કરવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરના અધિકારીઓ અને માણસો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ખેડૂતોની માંગણી મુજબ ખેતરમાંથી વીજ પોલ માટેનો માલસામાન ઉપાડી લેવાની તૈયારી દર્શાવી હતી. આ પછી ખેડૂતોએ બંધ કરેલો રસ્તો ખોલી આપ્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખાલિયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોને વળતર બાબતની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ખાનગી કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં અને જો કામ કરશે તો અસરગ્રસ્ત ખેડૂતો સાથે રાખીને વિરોધ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 8:02 am

76 વર્ષના ઈતિહાસમાં 8મી વખત AMCમાં વહીવટદારોનું શાસન આવે તેવી શક્યતા

AMC News : 1 જુલાઈ-1950ના રોજ અમદાવાદને મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજજો પ્રાપ્ત થયો હતો. 76 વર્ષના ઈતિહાસમાં અંદાજે બે મહિનાના સમય માટે આઠમી વખત વહીવટદાર કોર્પોરેશનમાં શાસનધુરા સંભાળે તેવી સંભાવના છે. ડ્રાફટ મતદાર યાદી 19 ફેબ્રુઆરીના રોજ જાહેર થવાની છે. હાલના મેયર સહિતના પાંચ પદાધિકારીઓની 9 માર્ચના રોજ મુદત પુરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં થોડા સમય માટે કોર્પોરેશનમાં રાજકીય શૂન્યાવકાશ જોવા મળશે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 8:01 am

પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને ફાયદો, EUએ અમેરિકા-યુરોપને આપી કડક ચેતવણી

EU warns Trump : યુરોપિયન યુનિયન (EU)ના ટોચના રાજદ્વારી અને યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષ કાજા કૈલાસે અમેરિકા અને યુરોપ વચ્ચે વધી રહેલા મતભેદોને લઈને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે સહયોગી દેશો વચ્ચેની આંતરિક ફૂટનો સૌથી વધુ ફાયદો ચીન અને રશિયાને થઈ રહ્યો છે. 'ચીન અને રશિયાને થઈ રહ્યો છે ફાયદો' કાજા કૈલાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં ચીન અને રશિયા 'મૌજ કરી રહ્યા હશે', કારણ કે સહયોગી દેશો વચ્ચેના આંતરિક મતભેદો સીધા તેમના હિતમાં જઈ રહ્યા છે. તેમણે ઈશારામાં કહ્યું કે જો પશ્ચિમી દેશોની એકતા નબળી પડશે તો તેનો સીધો ફાયદો એ શક્તિઓને મળશે, જે વૈશ્વિક વ્યવસ્થાને પડકારી રહી છે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 7:47 am

મહિલાઓ પણ કાયદાનો દુરુપયોગ કરે છે, પૈસા માટે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો : દિલ્હી હાઈકોર્ટ

Delhi High Court News : પારિવારિક વિવાદોમાં હંમેશા સાસરિયાવાળા જ જવાબદાર હોય તેવુ જરૂરી નથી, મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવતી હોય છે તેવુ અવલોકન દિલ્હી હાઇકોર્ટ દ્વારા એક મામલાની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યું હતું. પત્ની દ્વારા મધ્યસ્થતા દરમિયાન દર વખતે નવી નવી માગ કરવાને કોર્ટે લાલચી વલણ ગણાવ્યું હતું. દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ બંસલ કૃષ્ણાની બેંચે એક મહિલા દ્વારા કરાયેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ મામલે સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. બેંચે કહ્યું હતું કે આ મામલામાં પત્નીએ વધુમાં વધુ ધન પડાવવા માટે પતિ અને સસરા સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન આ હકિકતો સામે આવી હતી, દહેજ ઉત્પીડન કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. કોર્ટોએ કાયદાનો દુરૂપયોગ થતો અટકાવવાની જરૂર છે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 7:37 am

બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો ચિંતામાં, ભારતના નેતાઓ મૌન

- હિન્દુ યુવકને કાર નીચે કચડીને મારી નખાયો, બીએનપીના નેતાની ધરપકડ - બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠયો, સાંસદ બોબે બ્રિટિશ સરકાર પર દબાણ વધાર્યું Bangladesh News : બાંગ્લાદેશમાં છેલ્લા દોઢ મહિનાથી હિન્દુઓની ખુલ્લેઆમ હત્યાઓ થઇ રહી છે, છેલ્લા 24કલાકમાં વધુ બે હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. જેમાં એક હિન્દુ યુવકને કારની નીચે કચડીને મારી નાખવામાં આવ્યો હતો, આ જઘન્ય હત્યાકાંડને બાંગ્લાદેશની કટ્ટરવાદી પાર્ટી બીએનપીના નેતા અને કોન્ટ્રાક્ટર અબુલ હાશીમે અંજામ આપ્યો હતો. જ્યારે એક હિન્દુ હોટેલ વ્યવસાયી લિટન ચંદ્ર ઘોષની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. છેલ્લા દોઢ મહિનાથી ખુલ્લેઆમ હિન્દુઓની હત્યાઓ થઇ રહી છે આ મુદ્દે બ્રિટન સહિતના અન્ય દેશના સાંસદો, નેતાઓ ખુલીને અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ ભારતમાં નેતાઓ મૌન જણાઇ રહ્યા છે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 7:34 am

ગેરમાર્ગે દોરતી એઆઈ હેલ્થ સમરી ગુગલે હટાવવી પડી

- એઆઈ હેલ્થ સમરી દ્વારા રોગની તપાસ અને ઉપચાર અંગે ભુલભરેલી અને અધૂરી માહિતી અપાયાનો દાવો કરાયા બાદ એક્શન - ગુગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. તે માર્કેટ શેરના 91 ટકા ઉપર રાજ કરે છે. તેમાંય તેનું એઆઈ એટલે કે ગુગલ જેમીનાઈ એઆઈ પણ સૌથી મોટું લાર્જ લેન્ગવેજ મોડલ છે. તેના કારણે થઈ રહેલા ડખાનો નિકાલ લાવવા માટે ગુગલે આ કામગીરી હાથ ધરી છે : મેડ-જેમીનાઈ-એમ 1.5 દ્વારા તમામ સ્તરે દાખલ કરવામાં આવેલા વિવિધ ડેટા, મેડિકલ હિસ્ટ્રી, દર્દીઓના વિવિધ રિપોર્ટ અને મલ્ટિપલ રિસર્ચનું એનાલિસિસ કરવામાં આવે છે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 7:00 am

મુંબઈમાં ભાજપને ૨૧ ટકાથી વધુ, શિંદેને ફક્ત પાંચ ટકા મત

ઉદ્ધવ ઠાકરેની સેનાને ૧૩.૧૩ ટકા મત મળ્યા વિજેતા ઉમેેદવારોને મળેલા મતોમાંથી ૪૫ ટકા ભાજપને, ૨૭ટકાથી વધુ મત ઉદ્ધવ સેનાને મળ્યા મુંબઈ - મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં મળેલા મતોના આંકડા જોતાં ભાજપ અને એન્ય પક્ષો વચ્ચે ખાસ્સું અંતર રહ્યું હોવાનું દેખાય છે. કુલ મતદાન થયું તેમાંથી ભાજપને ૨૧.૫૮ ટકા મત મળ્યા છે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 7:00 am

મીરા ભાયંદરમાં મોટી સંખ્યામાં ગુજરાતી, જૈન, મારવાડી વિજેતા

કોર વોટબેન્કમાં ટિકિટો વહેચાતાં ભાજપને ફાયદો ભાજપને ૯૫માંથી ૭૮ બેઠક મળી તેમાંથી ૧૯ ઉમેદવારો ગુજરાતી, મારવાડી, જૈન સમાજના મુંબઈ - મીરા ભાયંદરમાં ગુજરાતી , મારવાડી, જૈન ઉેમેદવારોને ટિકિટ વહેંચણીમાં પ્રાધાન્ય આપવાનો ભાજપનો વ્યૂહ ફળ્યો છે. અહીંથી મોટી સંખ્યામાં ગુજરાતી, જૈન, મારવાડી ઉમેદવારો ચૂંટાયા છે. મીરા ભાયંદરમાં ભાજપને ૯૫માંથી ૭૮ બેઠકો મળી છે.

ગુજરાત સમાચાર 18 Jan 2026 6:30 am

દાગીના જ નહીં, દવાખાનાના બિલમાં પણ ચાંદી નડશે!:આયુર્વેદિક દવાઓ અને દાંતની સારવાર મોંઘી થઇ, વેપારીઓએ કહ્યું સિલ્વરનો ભાવ 3 લાખને પાર પહોંચશે

ચાંદી.....નામ સાંભળતા જ રોકાણકારોના ચહેરા પર ખુશી છવાઇ જાય કારણ પણ સ્વભાવિક છે....તેનો ભાવ. ચોખ્ખો હિસાબ છે જેણે 2025ના જાન્યુઆરી મહિનામાં ચાંદી લીધી હશે એ સમયે ભાવ 96 થી 97 હજાર રૂપિયા એટલે કે એક લાખની અંદર હતો. જેને હજુ તો 12 મહિના માંડ પૂરા થયા અને આ ભાવ પોણા ત્રણ લાખને પાર પહોંચી ગયો છે. આટલા સમયમાં ભાવ કેમ વધ્યા આ સવાલે ભલભલાને વિચારતા કરી દીધા છે. આવનારી દિવાળી કે 2027 સુધીમાં ચાંદીનો ભાવ કેટલે પહોંચશે અને કેટલું વળતર આપશે તે મુદ્દે પણ લોકોમાં ચર્ચા છે. આટલું તો ઠીક પણ ચાંદીના વધેલા ભાવની અસર આયુર્વેદિક દવાઓ અને દાંતની ટ્રીટમેન્ટ ઉપર પણ પડી છે. દિવ્ય ભાસ્કરે ડૉક્ટર તેમજ વર્ષોથી ચાંદીના વેપાર સાથે સંકળાયેલા અને અનુભવી લોકો સાથે વાતચીત કરીને ભાવવધારા પાછળના મુખ્ય કારણો જાણ્યા હતા. આયુર્વેદમાં સોના-ચાંદીને નોબલ મેટલ કહેવાય છે. સામાન્ય રીતે સોનામાંથી બનતી દવાઓને ઇમ્યુનિટી બૂસ્ટર સ્વરૂપે લેવાય છે. જ્યારે ચાંદીમાંથી બનતી દવાઓને બ્રેન ફંક્શનમાં સુધારો કરવા માટે લેવાય છે. 50થી વધુ દવાઓમાં સોના-ચાંદીનો ઉપયોગએક્સપર્ટના મતે, 50થી વધુ આયુર્વેદિક દવાઓમાં સોના-ચાંદીનો ઉપયોગ થાય છે. જેમાં શરદી, ડાયાબિટીસ, નબળાઇ દૂર કરવી, શ્વાસના રોગો, યુરિનરી ઇન્ફેક્શન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચ્યવનપ્રાશમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે. સોના-ચાંદીનો ઉપયોગ આયુર્વેદિક અને ભસ્મ આધારિત દવાઓમાં સૌથી વધુ થાય છે. આ જ કારણોસર તેમાં થયેલા ભાવવધારાના કારણે આયુર્વેદિક દવાઓની કિંમત પણ ઝડપથી વધી છે. એક અંદાજા મુજબ આયુર્વેદિક દવાઓની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં 10થી 40% જેટલો વધારો થયો છે. ચાંદીમાંથી બનતી દવાઓ ચાંદી મોંઘી થતાં ડેન્ટલ ટ્રીટમેન્ટ પર અસરસામાન્ય રીતે દર વર્ષે સોના ચાંદીના ભાવમાં 10થી 20% ભાવ વધારો જોવા મળતો હોય છે પણ આ વર્ષે ચાંદીમાં ભાવ વધારો 125%થી 150% સુધી પહોંચી ગયો છે. જેની અસર ડેન્ટલ ટ્રીટમેન્ટ પર પણ પડી છે. દાંતોની કેવિટી ભરવા અને ક્રાઉન લગાવવામાં સોના-ચાંદી મિશ્રિત ધાતુઓનો ઉપયોગ થાય છે. દાંતમાં ચાંદી પુરવા માટે ઉપયોગમાં લેવાતા સિલ્વર એલોય પાઉડરની કિંમત વધી ગઇ છે. ડૉ. મનોજ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે હાલમાં લોકોના મનમાં એવો સવાલ આવે છે કે દાંતની ટ્રીટમેન્ટ આટલી મોંઘી કેમ થતી જાય છે. દાંતમાં પૂરવામાં આવતી ચાંદી, સિમેન્ટના ભાવમાં વધારો થયો છે. જેના કારણે દાંતની ટ્રીટમેન્ટ પણ પહેલા કરતાં મોંઘી થઇ છે. મયુર આડેસરા રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રેસિડન્ટ છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જાન્યુઆરી, 2025ની શરૂઆતના દિવસોમાં ચાંદીનો ભાવ 95 થી 96 હજાર રૂપિયા આસપાસ હતો. આ વર્ષે ચાંદીએ લોકોને 150% થી પણ વધુનું રિટર્ન આપ્યું છે. જે લોકોએ ચાંદીમાં રોકાણ કર્યું છે તેમને ચાંદી....ચાંદી.... થઇ ગયું છે. તેમણે ચાંદીના ભાવમાં વધારો થવા પાછળના કારણો પણ જણાવ્યા. તેમના મતે, ચાંદી મેટલ છે એટલે તેના ભાવ હંમેશા વધતા જ રહેવાના છે. ચાંદીના ભાવવધારાના કારણોની વાત કરીએ તો મુખ્ય કારણ જીઓ પોલિટિકલ ટેન્શન છે. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ સમાવેશ થાય છે. ચીને પણ અમુક પ્રતિબંધો મૂક્યા છે. ચીન પોતાના એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ મુકવાનો વિચાર કરી રહ્યું છે. આ બધી અસરના કારણે ચાંદીના ભાવમાં વધારો થયો છે. 2026ના વર્ષમાં અમેરિકાની ફેડરલ બેંક વ્યાજદર ઘટાડે તેવી પણ શક્યતા છે. ETFમાં ચાંદીનું બાઇંગ વધી રહ્યું છે. જેથી ચાંદીની માગ સતત વધી છે. પાંચમું ફેક્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ છે. EVની બેટરીમાં અમુક ટકા ચાંદી હોય છે, સોલાર તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં પણ ચાંદીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. આ બધા ઉપયોગ વધવાના કારણે ચાંદીની માગ પણ વધી રહી છે. ભાયાભાઇ સાહોલિયા રાજકોટ સોની બજારના પ્રમુખ છે. તેઓ ચાંદીના ભાવ વધવા પાછળ 2 કારણોને જવાબદાર ગણે છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જ્યારે ચાંદીનો ભાવ 1 લાખની અંદર હતો ત્યારે તે યોગ્ય ભાવ હતો પરંતુ એકાએક ઉછાળો આવ્યો અને અઢી લાખને પાર થઇ ગઇ તે ભાવ વધુ કહેવાય. જેટલા લોકો ચાંદીના વેપાર સાથે સંકળાયેલા છે તેમના મગજમાં આ ભાવ ઉતરતા નથી. આ ભાવવધારા પાછળ 2 કારણો હોઇ શકે. પહેલું કારણ સટ્ટો અને બીજું કારણ વૈશ્વિક અસ્થિરતા. અત્યારના ભાવ ખૂબ વધારે'લોકોને એવો એક ભય છે કે ગમે ત્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. આવી સ્થિતિ હોય ત્યારે હંમેશા સોનુ ચાંદી પોતાના ભાવની મર્યાદા મૂકી દે છે અને એવો માહોલ ઊભો થઇ જાય છે કે ભાવ બેફામ વધી જાય છે. અત્યારે જે ભાવ છે એ ખૂબ વધુ ગણાય. આના કારણે સોના ચાંદીના ધંધામાં હાલ મંદી જોવા મળી રહી છે.' મયુર આડેસરાએ વધુમાં જણાવ્યું કે, સોના ચાંદી ગ્રાહકોને નિરાશ નથી કર્યા પણ ખૂબ સારું વળતર આપ્યું છે. આખા દેશમાં ચાંદીની ડિમાન્ડ એટલી વધી છે કે વેપારીઓ પહોંચી નથી શકતા. સોના-ચાંદીના ભાવ હજુ વધી શકેભાયાભાઇના મતે સોના-ચાંદીના ભાવ હજુ પણ વધી શકે છે. તેમણે કહ્યું કે,મુખ્ય વાત એ છે કે હવે લોકો સોનુ ચાંદીને બુલિયનના સ્વરૂપમાં જોવા લાગ્યા છે. લોકો માને છે કે સોના ચાંદીમાં રોકાણ કરીએ તો આગામી દિવસોમાં સારૂં વળતર મળે. 'ચાંદીએ એક વર્ષમાં દોઢ ગણું વળતર આપ્યું છે. જો આવુંને આવું આવનારા દિવસોમાં પણ રહ્યું તો ચાંદીનો ભાવ 3 લાખને પાર જતાં વાર નહીં લાગે. વચ્ચેના સમયમાં થોડો ભાવ ઘટે છે, ફરી પાછો ઉછાળો આવી જાય છે પરંતુ એકંદરે આવનારી દિવાળી સુધીમાં ચાંદી 3 લાખને પાર હોય તો પણ નવાઇ નહીં.' મયુર આડેસરા કહે છે કે, રાજકોટને ગોલ્ડ સિલ્વર મેન્યુફેક્ચરર હબ તરીકે ગણવામાં આવે છે. રાજકોટની કલાકૃતિ અને જોબ વર્કની કારીગરી વિશ્વવિખ્યાત છે. શહેરના કારીગરોની કાસ્ટિંગ વર્કમાં કુશળતા છે. અહીંની બનેલી ચાંદીની આઇટમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં સપ્લાય થાય છે. એક અહેવાલ મુજબ જણાવું તો એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીમાં અંદાજે 470 મિલિયન આસપાસ એક્સપોર્ટ થયું છે. 2026માં આ ભાવ 3 લાખથી 3.5 લાખ ઉપર પહોંચે તો પણ નવાઇ નહીં. ચાંદીના વ્યવસાયે હરણફાળ ભરીરાજકોટમાં સોના ચાંદીનો વ્યવસાય 100થી વધુ વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. વર્ષ 1990 બાદ ચાંદીના વ્યવસાયે હરણફાળ ભરી છે. અહીં ચાંદીની મૂર્તિ, શો-પીસ, સિક્કા, છડા, કંદોરા, વિંટી, કી-ચેઇન જેવી અનેક વસ્તુઓ બને છે. વર્ષ 2010થી ઇટાલિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વેક્યુમ કાસ્ટિંગ પ્રોસેસથી દાગીના બનાવાય છે. રાજકોટમાં દરરોજ સરેરાશ 2 હજારથી 3 હજાર કિલોગ્રામ ચાંદીમાંથી ઘરેણાંનું ઉત્પાદન થાય છે. ઇનોવેશન અને વેરાયટી ધરાવતા દાગીના બનાવવામાં રાજકોટનો ચાંદી ઉદ્યોગ દેશમાં પ્રથમ ક્રમે છે. રાજકોટમાં અંદાજે 1200 યુનિટ છે જે 2 લાખથી 2.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 6:00 am

આવતીકાલથી નવી સિરીઝ ‘બંદીવાન’:સાબરમતી જેલમાં સજા કાપતા કેદીઓની સળગતી સત્યકથાઓ, તેમની પોતાની જુબાની

એક ક્ષણનો ગુસ્સો, એક ખોટો નિર્ણય અને પછી આખું જીવન જેલની ચાર દીવાલમાં કેદ. શું ક્યારેય વિચાર્યું છે કે જે માણસો જનમટીપ જેવી લાંબી સજા કાપી રહ્યા છે, તેમનાં મનમાં શું ચાલતું હશે? તેઓ પોતાનાં કૃત્યો અંગે શું વિચારતા હશે? શું તેમને પોતે કરેલા ગુનાનો પસ્તાવો થતો હશે? આવા અનેક સવાલોના જવાબો મેળવવા માટે દિવ્ય ભાસ્કરે ગુજરાતની સૌથી મોટી એવી સાબરમતી જેલમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ માટે જનમટીપ સહિતની સજા ભોગવી રહેલા કેદીઓના ઇન્ટરવ્યૂ કર્યા. આ ઇન્ટરવ્યૂઝ આધારિત નવી સિરીઝ દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થઈ રહી છે. તેનું નામ છેઃ ‘બંદીવાન’.આવતીકાલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ ‘બંદીવાન’ સિરીઝનો એક નવો એપિસોડ પ્રકાશિત થશે. આ સિરીઝમાં કેદીઓ પોતાના શબ્દોમાં કહેશે કે કેવી રીતે એક ક્ષણમાં તેમનું જીવન અંધકારમય બની ગયું. કેવી પરિસ્થિતિમાં તેઓએ ગુનો કર્યો, જેલની કઠોર જીવનશૈલીમાં તેઓ કેવી રીતે ટકી રહ્યા છે, અને હવે તેમને કેટલો પસ્તાવો થઈ રહ્યો છે... આ બધું જ તમે સાંભળશો તેમની જ જુબાનીમાં. રોજેરોજ એવી સત્યકથાઓ રજૂ થશે, જે તમને હચમચાવી નાખશે. જેલના સળિયાઓ પાછળ જીવતા આ માણસોની વાસ્તવિક કહાનીઓ આપણને સૌને વિચારવા મજબૂર કરશે કે કેવી રીતે એક ખોટો નિર્ણય વ્યક્તિનું પોતાનું અને આખા પરિવારનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. સમાજ, કાયદો અને માનવતા વચ્ચેના સંબંધોને સમજવા માટે આ સિરીઝ જરૂર જુઓ. ‘બંદીવાન’, જેલના સળિયા પાછળની સળગતી સત્યકથાઓ. આવતીકાલ સોમવારથી શુક્રવાર દરરોજ વાંચવાનું ચૂકશો નહીં.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 6:00 am

દીપડો દેખાતાં લોકો ગભરાયાં:ધ્રુપકા ગામે સમી સાંજે ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

સિહોર પાસેનું ધ્રુપકા ગામ જંગલની નજીક આવેલ ગામ છે.આથી જંગલમાં રહેતા રાની પશુઓ અવારનવાર ધ્રુપકા ગામમાં અને ગામની સીમમાં આવી જતા હોય છે. આથી ગામમાં આ બાબતે ભયનો માહોલ ફેલાયો છે. ધ્રુપકા ગામે ગત રાત્રિના નવ સાડા નવના શુમારે ગામમાં સ્મશાન રોડ પર દીપડો જોવા મળ્યો હતો. આથી શેરીના કૂતરા ભસતા-ભસતા પલાયન થઇ ગયા હતા.આ રોડ પર રહેતા એક પરિવારે બલ્બના અજવાળે દીપડાને સામે કાંઠેથી આવતા જોયો હતો. દીપડાનું આ લાઇવ ર્દશ્ય જેણે-જેણે જોયું હશે એણે ભયની કેવી લાગણી અનુભવાઇ હશે એ કલ્પનાતીત છે ! અને ધીમે પગલે જંગલમાં નીકળી ગયો. પરંતુ ગામમાં આવી ગયેલું આ રાની પશુ લોકોમાં ભયનો માહોલ ફેલાવતો ગયો. બે-ત્રણ દિવસ પહેલાં ધ્રુપકાથી માત્ર ત્રણેક કિલોમીટર દૂર આવેલ ભડલી ગામે બે સિંહ જોવા મળ્યા હતા.એ પછી ધ્રુપકા ગામમાં સમી સાંજે દીપડાએ દેખા દેતા આ વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળતા પણ ભય અનુભવી રહ્યા છે.અત્યારે ખેતીમાં સરગવો અને ડુંગળીની સિઝન ચાલી રહી છે.ગ્રામ્ય વિસ્તારમાં તો કેટલાક પરિવારો વાડી વિસ્તારમાં રહેતા હોય છે. રાની પશુઓને અન્ય સ્થળે ખસેડાય તેવી માંગગીરનું જંગલ છોડીને રાની પશુઓ હવે ધીમે-ધીમે ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિસ્તરતા અને વિહરતા થયા છે. અને રસ્તે જતી મહિલા કે વાડીમાં કામ કરતાં મજૂર કે બાળક પર દીપડા જેવું લુચ્ચું પ્રાણી હુમલો કરતું હોય છે. અને ઘણીવાર એમાં કોઇ ઘાયલ થાય કે પછી મૃત્યુને પણ ભેટતું હોય છે. આ રાની પશુઓને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી સિહોર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના રહીશોની લોકમાંગ ઊઠવા પામી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:41 am

રિવર ફ્રન્ટની અવદશા થઈ:વલભીપુરમાં લાખોના ખર્ચે બનાવાયેલા રિવર ફ્રન્ટની દુર્દશા

વલભીપુર નગરપાલિકા દ્વારા ઘેલો નદીના કાંઠે તેમજ પાલિકાના વોટર વર્કસ નજીક શહેરીજનો માટે ફરવા સાથે કુદરતી વાતાવરણ વચ્ચે બેસી શકે તે માટે ઇ.સ.2018ની સાલમાં લાખો રૂપિયાના ખર્ચૈ રીવર ફ્રન્ટ બનાવવામાં આવ્યું છે અને હાલ આ રિવર ફ્રન્ટની અવદશા થઇ છે. ઘેલો નદી કાંઠા તરફ લોકો આરામથી બેસી શકે તે માટે રિવર ફ્રન્ટની બાલ્કની ટાઇપ ચડતા ક્રમમાં પગથિયાઓ બનાવેલ છે પરંતુ હાલમાં આ સ્થળની હાલત એવી થઇ છે કે, લોકો ફરવા આવે તો પણ આરોગ્ય બગડે તેવી હાલત છે નદીમાં ગટરના પાણી ઠલવાતા હોય તેથી પાણીમાંથી દુર્ગંધ મારતી વાસ આવે છે તો પગથિયા નજીક ગાંડા બાવળાએ સામ્રાજય ઉભું કરી દીધુ છે. પાલિકાનું વોટર વર્કસ નજીકમાં આ સ્થળ હોવા છતા઼ં જાળવણી ન થાય તે કેવી કમનસીબી સમજવી આ રિવર ફ્રન્ટની યોગ્ય જાળવણી થાય અને શહેરીજનો કમસેકમ સાંજના સમયે ફરવા આવી શકે તેવી વ્યવસ્થા નગરપાલિકાની દ્વારા હાથ ધરવામાં આવે તેવી લોકોને અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:41 am

લોક માંગ:સિહોરના રસ્તાઓ ગુણવત્તાસભર બનાવવા માંગ

ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામો અને શહેરોના રસ્તાઓની ગુણવત્તા અત્યંત નબળી હોવાને કારણે આ રસ્તાઓ બનતાની સાથે જ થોડા સમયમાં તૂટી જાય છે. અને સામાન્ય જનતાની તકલીફ હતી ત્યાંને ત્યાં જ રહે છે. અને ખરાબ રસ્તાઓને લીધે ઇંધણ, સમય અને ઘણીવાર અકસ્માતોને લીધે જીવનું પણ નુકસાન થાય છે. આપણી પાસે ગુણવત્તાવાળા ઇજનેરો છે.અને હાઇ-વેનું કામ ઘણું ગુણવત્તાવાળું થાય છે. તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને જલદી તૂટે નહીં તેવા રસ્તાઓ બનાવવાની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જે નવા સિમેન્ટ કૉંક્રિટના રસ્તાઓ બને છે તેની કામગીરી અને મટીરીયલ્સ એટલી બધી હલકી કક્ષાના હોય છે કે થોડાં જ દિવસોમાં તે રસ્તાઓ તૂટી જાય છે. અને જનતાના કર વેરામાંથી થયેલ સરકારની આવક પાણીમાં જાય છે. આથી સારા કામની ગુણવત્તા ધરાવતા કોન્ટ્રાકટરોને જ આવા કામો સોંપવામાં આવે. જો માલ સામાન કે કામની ગુણવત્તામાં જરા પણ કમી હોય તો તેને યોગ્ય દંડ કરવામાં આવે. લોકોની અપેક્ષા પણ સરકાર પાસે વિશેષ હોય. આ માટે માત્ર લાગતા વળગતા કોન્ટ્રાકટરોને જ કામ આપવાનું બંધ કરી ગુણવત્તાયુકત કામ કરતાં કોન્ટ્રાકટરોને જ કામ આપવામાં આવે. નીચેની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી આ કાર્ય ન થઇ શકે તો રાજ્ય સરકાર આ કામમાં હસ્તક્ષેપ કે દેખરેખ રાખી યોગ્ય કાર્યવાહી કરાવે અને ગુજરાતના લોકોની કાયમી સમસ્યાનું નિરાકરણ આવે તે માટે ઝડપી કાર્યવાહી કરવા માંગ ઊઠી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:40 am

અપૂરતી વિકાસ:પાલિતાણામાં પાણી, રોડ અને સફાઈના પ્રશ્નો અણઉકેલ

પાલિતાણા શહેરની વસ્તી કુદકે ભુસકે વધી રહી છે એક અંદાજ મુજબ શહેરની વસ્તી 80,000 જેટલી ગણાય છે. સ્ટેશન રોડ, ભૈરવનાથ ચોક, માંડવી ચોક, ગારિયાધાર રોડ, તળેટી રોડ, મેઇન રોડ, તળાજા રોડ, પેલેસ રોડ જયાં એક સમયે મોકળાશ અનુભવાતી હતી ત્યાં પણ આજે વાહનોની ગીચતા અને પ્રદૂષણ જોવા મળે છે. આ ગતિ એ જ શહેરની વસ્તી જો વધતી રહેશે અને તેને સારી રીતે સમાવવા પૂરતું આયોજન નહીં કરવામાં આવે તો 10 કે 15 વર્ષ પછી શહેરના અનેક વિસ્તારો અને રાજમાર્ગોની શું દશા છે તેની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. પાણી, રોડ, સફાઇ, ટ્રાફિક, બાગ બગીચા જેવા પ્રશ્નો ઉકેલાતા નથી. પાલિતાણા નગરપાલિકા અને રાજ્યના સત્તાધીશો નાગરિકો માટે ખૂબ મહત્વના એવા આ સર્વે પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરેલ. રોજબરોજના પ્રશ્નો હલ કરવા તે નગરપાલિકાની જવાબદારી છે પરંતુ શહેરની ભાવિ સમસ્યાઓનો અભ્યાસ કરી તેનું પરફેક્ટ આયોજન કરવાની વિશેષ જવાબદારી છે. પાલિતાણા શહેરને રાજ્ય સરકારે પવિત્ર તીર્થધામ જાહેર કરેલ છે પાલિતાણાના વિકાસ અને ભાવી આયોજનને ધ્યાનમાં રાખી તંત્ર ગોઠવવાની કે સાધનોની ફાળવણી કરવાની રાજ્ય સરકારની પણ જવાબદારી છે. આવી જ રીતે શહેરના રસ્તાઓ બાંધ્યા પછી તેની યોગ્ય જાળવણી મરામત પણ ઘણી મહત્વની બાબત છે સત્તાવાળાઓએ ઉત્સાહ બતાવી અમુક રસ્તાઓ સારા બનાવેલ પરંતુ સંખ્યાબંધ રસ્તાઓ આજે પણ ખરાબ છે આવા ખરાબ અને બિસ્માર રસ્તાઓ ટ્રાફિકની ધીમી ગતિ માટે ઘણી અંશે જવાબદાર છે વળી આ રસ્તાઓ ઉપરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનું કાર્ય આવકાર્ય છે પરંતું કમનસીબી એ છે કે આવા પગલા એ ઉભરાની માફક લેવાય અને ફરી પાછું બધું જ યથાવત ચાલે છે. પાલિતાણામાં લાંબા સમયથી નિયમિત પાણી, બિસ્માર રોડ, નિયમિત સફાઇ, ટ્રાફિક અને બાગ બગીચા જેવા પ્રશ્નો ઉકેલાતા નથી. સમસ્યા-1 : ટ્રાફિક જામભૈરવનાથ ચોક, દરબાર ચોક થી માંડવી ચોક, તળાજા રોડ, સ્ટેશન રોડ વિગેરે વિસ્તારોમાં દિવસમાં અનેક વખત ટ્રાફિકજામ થઈ જાય છે પરંતુ આના કરતાં ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના વિસ્તારમાં હાલત અમુત સમયે ઘણી ખરાબ થઈ જાય છે. સમસ્યા-2 : પાણીની અનિયમિતતાએક વિકટ પ્રશ્ન પાણીનો છે. શહેરના ઉંચાણ વાળા વિસ્તારોને પાણી નિયમિત મળતું નથી તો અમુક વિસ્તારોમાં પૂરતા પ્રેસર થી પાણી મળતું નથી ઉનાળાના ત્રણથી ચાર મહિના તો પાણીની ભારે તંગી નગરજનોને અનુભવી પડે છે. દર વર્ષે પરિસ્થિતિ વધુ ખરાબ બનતી જાય છે એકાદ વર્ષે જો ઓછો વરસાદ થાય તો પાલિતાણામાં પાણીની ભારે સમસ્યા ઊભી થશે તે ચોક્કસ છે. સમસ્યા-3 : અપૂરતા બાગ બગીચાવિકાસને લગતી ત્રીજી બાબત છે નગરજનો માટે અનિવાર્ય એવા બાગ બગીચા વસ્તીના પ્રમાણમાં ફક્ત એક જ બગીચો છે તેની પૂરતી જાળવણી થતી નથી અને બિસ્માર હાલતમાં છે. પાલિતાણાની જનતાને હરવા ફરવા માટે એક સારા બગીચાની જરૂર છે. જો બગીચો સારો બને તો પરિવાર સાથે ફરવા જઈ શકાય.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:39 am

ધમકી આપી:બ્રાહ્મણ તલાવડીમાં દંપતીને જાનથી મારી નાખવાની ધમકી

બ્રાહ્મણ તલાવડી ખલાસી સોસાયટીમાં બમ્બાખાના સામે રહેતા માલાબેન જગદીશભાઈ મકવાણાએ ગંગાજળિયા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા તે દરમિયાન તેમના જ ઘર પાસે ખાંચામાં રહેતો રવિ ઉર્ફે ડોન ખુશાલભાઈ ચૌહાણ તેની સાથે બે અજાણ્યા ઇસમોને લઈને આવ્યો હતો. આરોપીએ માલાબેન તથા તેમના પતિ જગદીશભાઈને અશ્લીલ અને અપમાનજનક ગાળો આપી માથાકૂટ કરી હતી. આ દરમિયાન આરોપી હાથમાં લોખંડનો પાઈપ લઈને અહીંથી મકાન ખાલી કરી બીજે રહેવા જતા રહેજો, નહિતર જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી આપતાં દંપતીમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, રવિ ઉર્ફે ડોન ખુશાલભાઈ ચૌહાણ સામે અગાઉ થયેલી માથાકૂટ અંગે અગાઉ ફરિયાદ નોંધાવાઈ હતી, જેનો દાઝ રાખીને આરોપીએ ફરીથી આ રીતે ધમકી આપી હતી. સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:37 am

શ્રેષ્ઠ પ્રદર્શન:પ્રથમ નેશનલ જંબોરીમાં શ્રેષ્ઠ દેખાવ કરતા રોવર રેંજર વિદ્યાર્થીઓ

ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ન્યૂ દિલ્હી દ્વારા 9 થી 13 જાન્યુઆરી 2026 દરમિયાન બાલોદ - છત્તીસગઢ ખાતે પ્રથમ નેશનલ રોવર રેંજર જંબોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના તમામ રાજ્યો અને સિનિયર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રોવર રેંજર એકત્ર થયાં હતાં. ત્યારે આ કેમ્પમાં ભાવનગર અને અમદાવાદ ના રોવર રેંજર દ્વારા ગુજરાત નું નેતૃત્વ કરવામાં આવેલ અને સ્ટેટ એક્ઝિબિશન, કેમ્પ ફાયર, એથનિક ફેશન શો, યુથ પાર્લામેન્ટ, યુથ ફોરમ, ફોક ડાન્સ વિગેરે પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જ્યારે યુથ ફોર્મ માં સમગ્ર દેશમાંથી આવેલા રાજ્યોના વિદ્યાર્થીઓમાં ચેર પર્સન અને વાઇસ ચેર પર્સન તરીકે ગુજરાતના રોવર રેંજરને નિયુક્ત કરાયા હતા અને યુવા શક્તિ સે રાષ્ટ્ર નિર્માણ સૂત્રને સાર્થક કર્યું હતું. જંબોરી દરમિયાન છત્તીસગઢ રાજ્યના સીએમ શ્રી વિષ્ણુ દેવ રાય મુખ્ય મહેમાન તરીકે અને શિક્ષણ મંત્રી ગજેન્દ્ર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર દેશમાંથી આવેલા રોવર રેંજરને આવકાર્યા હતા. ગુજરાતના કન્ટીજન લીડર તરીકે સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રોગ્રામ ઓફિસર શ્રી ધ્રુવાબેન ભટ્ટે સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:35 am

શિક્ષણનું સ્તર ઊંચુ લઈ જવા નવીન પ્રયાસ:પ્રાથમિક શાળાઓના બાલવાટિકા વિભાગ માટે મેન્ટરની નિમણૂક

પ્રાથમિક શાળાઓમાં હવે બાળકની ઉંમર છ વર્ષની થાય ત્યારથી જ પહેલા ધોરણમાં પ્રવેશ મળે છે, પણ જો પાંચ વર્ષ થયા હોય તો તેમને બાલવાટિકાના નવા વિભાગમાં સમાવવામાં આવે છે. આ બાલવાટિકા અને ધોરણ એક, બેના શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન માટે ખાસ મેન્ટરની નિમણૂક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.તેઓને શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવા માટે કામગીરી સોંપવામાં આવી છે. નીપુણ ભારત મિશનના અમલીકરણ માટે બાલવાટિકા, ધોરણ 1 અને 2 ના શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે માટે ક્લસ્ટર કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ આ પ્રકારે મેન્ટરની યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. તેના માટે સીઆરસી બીઆરસી કોર્ડીનેટર અને બીઆરપીને નિમણૂક આપીને તેમની પાસે મેન્ટર તરીકેની કામગીરી કરાવવામાં આવશે. નબળા બાળકો પર ધ્યાન અપાશેદેશભરની શાળા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે નવી નિતિ ઘડવામાં આવી છે અને આ નીતિ મુજબ સ્કૂલના શિક્ષકોને ક્લાસરૂમમાં ટેક્નોલોજીનો ઉપયોગ, નબળા બાળકો પર વધુ ફોકસ કેમ કરવું, માનસિક સ્વાસ્થ્ય સહિતની બાબતો શીખવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક નવી એડવાઇઝરી જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:30 am

ગંભીર હુમલો કરાયો:તારામાંથી જ દાળ પુરી ખાવાની છે તેમ કહી માથા પર છરીના ઘા માર્યા

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ પાસે જાહેર સ્થળે દાદાગીરી, છરીથી હુમલો અને લૂંટની ગંભીર ઘટનાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સીદસરનો રહેવાસી એક ખેતીકારક યુવક તળાવ ખાતે કરિયાણું લેવા આવ્યો હતો, પરંતુ દાળપુરીના નાસ્તા દરમિયાન થયેલી બોલાચાલી થોડા જ સમયમાં હિંસક હુમલામાં ફેરવાતાં છરી, લોખંડના પાઈપ અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી સાથે લૂંટ જેવી ઘટના સર્જાઈ હતી, જેના કારણે શહેરમાં વધતી લુખ્ખાગીરી સામે ફરી ચિંતા વ્યક્ત થઈ રહી છે. સીદસર ખાતે ભાગ્યું રાખી ખેતી કરતા પ્રવીણભાઈ મંગાભાઈ ચારોલીયાએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરેથી ભાવનગરના ગંગાજળિયા તળાવ પાસે બસ સ્ટેન્ડ નજીક કરિયાણું લેવા આવ્યા હતા અને સવારે આશરે 11 વાગ્યાના સમયે તળાવ નજીક આવેલી લારી એ દાળપુરીનો નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યો ઈસમ ત્યાં આવી દાદાગીરીપૂર્વક તેમની થાળી માંથી જ દાળપુરી ખાવા લાગ્યો હતો, જેને પ્રવીણભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમે ઝઘડો ઊભો કર્યો હતો અને તારામાંથી જ દાળ પુરી ખાવાની છે જેથી દુકાનદારે તેને ત્યાંથી કાઢી મૂક્યો હતો, પરંતુ થોડા સમય બાદ એ જ ઈસમ પોતાની સાથે બે અન્ય અજાણ્યા ઈસમોને લઈ પરત આવ્યો હતો જેમાંથી બે ઈસમોએ પ્રવીણભાઈને પકડી રાખ્યા હતા અને લાલો નામનો ઈસમે માથા ના ભાગે છરીનો ઘા મારતાં પ્રવીણભાઈ લોહીલુહાણ હાલતમાં થઈ ગયા હતા. આ દરમિયાન એક ઈસમે પોતાનું નામ અર્જુન ઠુઠો હોવાનું કહી હું તળાવમાં જ રહું છું, હવે તળાવમાં દેખાયા તો મારી નાખશું તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી જ્યારે ત્રીજા શખ્સે ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ ત્રણેય શખ્સોએ પ્રવીણભાઈના ખીસ્સામાંથી રૂ.800 લૂંટી લીધા હતા, જે બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. છેલ્લાં અઠવાડિયાથી શહેરમાં મારામારી તથા ધમકીની ઘટનાઓ સતત વધી રહી હોવાને કારણે લુખ્ખાતત્વો બેફામ બન્યા હોવાનો રોષ પણ સામે આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:29 am

બેંકના કર્મચારી દ્વારા કરોડોની ઉચાપત:ભાવ. સહકારી બેંકના 40થી વધુ ખેડૂતોની 1 કરોડથી વધુ રકમની ડિપોઝિટની ઉચાપત

ભાવનગર જિલ્લા સહકારી બેંકની જલાલપર શાખામાંથી 40 થી 50 ખેડૂતોની ડિપોઝિટની એક કરોડથી પણ વધુ રકમની બેંકના કર્મચારી દ્વારા ઉચાપત કરવામાં આવી હોવા છતાં બેંક દ્વારા કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરાઈ હોવાનું માર્કેટ યાર્ડના ડિરેક્ટર દ્વારા સ્ટેટ રજીસ્ટ્રાર સહિતનાને રજૂઆત કરાઈ છે. ભાવનગર માર્કેટ યાર્ડના ડિરેક્ટર ભીખાભાઈ જાજડિયા દ્વારા સ્ટેટ રજીસ્ટ્રાર અને નાબાર્ડના જનરલ મેનેજરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લા સહકારી બેંકના જલાલપર શાખાના કર્મચારી આણંદ પોપટ સગરે જલાલપર વિકળીયા અને આજુબાજુના ગામોમાંથી મુકેલી ડિપોઝિટની રકમની ઉચાપત કરેલી છે. 40 થી 50 ખેડૂતોની 1 લાખ થી 15 લાખ સુધીની અંદાજે 1 કરોડથી વધુ રકમની ડિપોઝિટ ઉચાપત કરી છે. ગત 12મી જાન્યુઆરીના રોજ બેંગ્લોર સાયબરે ટ્રાન્જેક્શન થયેલી હોવાથી બેંગ્લોર પોલીસે ફરિયાદ કરેલી છે. અને હેડ ઓફિસ ને જાણ થઈ તે દિવસે આ કર્મચારીની બદલી કરી ગઢડા મુક્યા હતા અને જલાલપરથી છૂટા કર્યા હતા. ઉચાપત કરનાર કર્મચારી ગઢડા હાજર નહીં થઈ ફરાર થઈ ગયા છે. સાયબર સેલ દ્વારા ફરિયાદ કરી હોય ત્યારે બેંક દ્વારા ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાવવાને બદલે કર્મચારીની બદલી કરી હતી. તેમજ આજ સુધીમાં બેંક દ્વારા કર્મચારી વિરુદ્ધમાં કોઈ પોલીસ ફરિયાદ નથી. બેંક દ્વારા કેટલા ખેડૂતોની ઉચાપત થઈ છે તે ખેડૂતોના નામથી કેશિયર પર ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. એક મેકર અને એક ચેક કર એમ બે કર્મચારીઓથી પેમેન્ટ થવા જોઈએ તેના બદલે બંને કામગીરીના પાસવર્ડ વડી કચેરીએ આપેલ છે જેના કારણે ફ્રોડ થયેલ છે. જેથી જવાબદારો સામે પણ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:25 am

રીસાયક્લિંગ ઓફ શિપ રેગ્યુલેશન્સ–2026 જાહેર કરાયું:શિપ બ્રેકિંગ ઉદ્યોગ સામે નવા નિયમો કસોટીરૂપ બની રહેશે

કેન્દ્ર સરકારના પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રાલય દ્વારા રીસાયક્લિંગ ઓફ શિપ રેગ્યુલેશન્સ–2026 જાહેર થતાં ભારતનો શિપ રીસાયક્લિંગ ઉદ્યોગ મોટા પરિવર્તનના બારસાખ પર આવી ઉભો છે. વૈશ્વિક સ્તરે અગ્રણી ગણાતા આ ઉદ્યોગને હવે ઓપરેશનલ તેમજ નાણાકીય પડકારોનો સામનો કરવો પડશે. રીસાયક્લિંગ ઓફ શિપ એક્ટ–2019 હેઠળ લાવવામાં આવેલા નવા નિયમો હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન સાથે ભારતીય પ્રથાઓને સુસંગત બનાવવા માટે છે, પરંતુ ઉદ્યોગના હિસ્સેદારો માને છે કે આ પરિવર્તન સરળ નહીં રહે. નવા નિયમો હેઠળ શિપ રીસાયકલર્સ પર સલામતી, પર્યાવરણ સંરક્ષણ, દસ્તાવેજીકરણ, તાલીમ અને વિવિધ એજન્સીઓની મંજૂરી સંબંધિત કડક શરતો લાદવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પગલાંથી કામદારોની સુરક્ષા વધશે અને ભારતની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા મજબૂત થશે, જ્યારે શિપ બ્રેકરોનું કહેવું છે કે પાલનની વધતી કિંમત નાના અને જૂના યાર્ડ્સ માટે મુશ્કેલીરૂપ બની શકે છે. ખાસ કરીને સેફ-ફોર-હોટ-વર્ક ધોરણો પૂર્ણ કરવા માટે યાર્ડ્સને ગેસ-મુક્ત વ્યવસ્થા, સતત દેખરેખ, અગ્નિ નિવારણ સિસ્ટમ, પ્રમાણિત સાધનો, તબીબી સુવિધા અને ઈમરજન્સી પ્રતિભાવ જેવી માળખાગત સુવિધાઓ વિકસાવવી પડશે, જેમાં ભારે મૂડીરોકાણ જરૂરી બનશે. જોખમી કચરાના નિકાલ માટે TSDFની ફરજિયાત સભ્યપદ અને લાઇસન્સધારી પરિવહન વ્યવસ્થાથી ખર્ચ વધુ વધશે. નવા નિયમોમાં પરવાનગીઓ માટે અનેક એજન્સીઓનો સમાવેશ કરાયો છે, જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થવાની ભીતિ ઉદ્યોગ વ્યક્ત કરી રહ્યો છે. સાથે જ દસ્તાવેજીકરણ, ઓડિટ અને રિપોર્ટિંગની કડક વ્યવસ્થા નાના ઓપરેટરો માટે પડકારરૂપ બની શકે છે. માનવ સંસાધન ક્ષેત્રે પણ નિયમિત તાલીમ અને આરોગ્ય તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે. આગ, વિસ્ફોટ અથવા પ્રદૂષણ જેવી ઘટનાઓમાં કામગીરી સ્થગિત કરવાની સત્તા અધિકારીઓને આપવામાં આવી છે, જેના કારણે ઉદ્યોગમાં ચિંતા છે. તેમ છતાં નીતિનિર્માતાઓનું કહેવું છે કે લાંબા ગાળે આ નિયમો સલામતી, કામદારોના કલ્યાણ અને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે. હવે શિપ રીસાયક્લિંગ ફક્ત સ્ટીલ કાપવાનો વ્યવસાય નહીં, પરંતુ સલામતી અને પર્યાવરણીય જવાબદારી સાથે જોડાયેલો ઉદ્યોગ બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:22 am

રાત્રે ફ્લાય ઓવરની લાઈટો બંધ થતાં અકસ્માતની ભીતિ:CM ભાવનગરમાંથી પાછા વળતા જ ફ્લાય ઓવરમાં અંધારા છવાયા

ભાવનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રીના જુદા જુદા ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ તંત્ર પણ સાબદુ થઈ ગયું હતું અને તેના રૂટ પર દેખાડવા પૂરતા કામો પણ કરાયા હતા. પરંતુ સાંજે જેવા મુખ્યમંત્રી ભાવનગર છોડીને ગયા ત્યાં ફ્લાય ઓવર પર અંધકાર છવાયો હતો. ફ્લાય ઓવર પરની લાઈટો બંધ થઈ ગઈ હતી. ભાવનગર ખાતે દિવ્યાંગોને સાધન અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવવાના હોવાથી કોર્પોરેશન દ્વારા પણ તાબડતોબ લોકાર્પણ અને ખાતમુહૂર્તોનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો હતો. ગણતરીની કલાકોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હોવાથી કાર્યક્રમનું સ્થળ સરદારનગર મેઘાણી ઓડિટોરિયમમાં ખાલી સીટો ન દેખાય તે માટે કોર્પોરેશનના કર્મચારીઓ અને ભાજપના કાર્યકરોથી ઓડિટોરિયમ ભરવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગર શહેરના પ્રથમ ફ્લાય ઓવર પરની આકર્ષક એલઇડી લાઇટો તો સામાન્ય દિવસોમાં ઘણી બંધ ચાલુ હોય છે પરંતુ કોઈ ઉચ્ચ પદાધિકારી કે રાજકીય નેતા ભાવનગરમાં આવવાના હોય ત્યારે તમામ લાઈટોથી ફ્લાય ઓવરનું આકર્ષણ પણ વધારવામાં આવે છે. પરંતુ ગઈકાલે મુખ્યમંત્રીના ભાવનગર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ભાવનગર છોડીને જેવા ભાવનગરથી મોં ફેરવ્યું તેવું ફ્લાય ઓવર પર લાઈટના થાંભલાની રંગબેરંગી એલઇડી લાઇટો તો બંધ હતી જ પરંતુ રાત્રે ફ્લાય ઓવર પરની તમામ લાઈટો બંધ થઈ ગઈ હતી. ફ્લાય ઓવર પર રાત્રે લાઇટો બંધ હોવાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય રહ્યો હતો. કોર્પોરેશન દ્વારા ફ્લાય ઓવર પરની રંગબેરંગી લાઈટો નિયમિત ન ચાલુ રહી શકે તો ખાસ કોઈ મુશ્કેલી ન રહે પરંતુ જો મુખ્ય લાઈટો જ બંધ થઈ જાય તો ગંભીર અકસ્માતને નકારી શકાય નહીં.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:21 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલે કહ્યું- ઇન્દોરની હવા, પાણી-જમીન ઝેરી; કોંગ્રેસ MLA બોલ્યા, 'બળાત્કારથી તીર્થયાત્રાનું ફળ મળે', રાજકોટની 'નિર્ભયા'ના આરોપીને ફાંસીની સજા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઇન્દોરની મુલાકાત હતી. તેમણે કહ્યું કે અહીંની હવા, પાણી અને જમીનમાં ઝેરી છે. બીજા મોટા સમાચાર કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બારૈયાનું વિવાદાસ્પદ નિવેદન હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. મોદીએ કહ્યું-TMC ઘુસણખોરોને મતદાર બનાવી રહી છે:તેમને વસાવીને ગરીબોના અધિકારો છીનવી રહી છે; ભાજપ તેમને દેશમાંથી કાઢી મુકશે પશ્ચિમ બંગાળના માલદામાં શનિવારે પીએમ મોદીએ કહ્યું કે બંગાળ સામે ઘૂસણખોરીનો એક મોટો પડકાર છે. બંગાળના ઘણા વિસ્તારોમાં વસ્તીનું બેલેન્સ બગડી રહ્યું છે. ટીએમસી ઘૂસણખોરોને મતદાર બનાવી રહી છે. ગરીબોનો હક છીનવાઈ રહ્યો છે. ભાજપ સરકાર બનતા જ ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે. આયુષ્માન ભારત યોજના પર વાત કરતા પીએમએ કહ્યું કે, ટીએમસીના લોકોને તમારી તકલીફની કોઈ ચિંતા નથી. અહીં આયુષ્માન યોજના લાગુ થવા દેવામાં આવી નથી. આવી પથ્થર દિલ સરકારની બંગાળમાંથી વિદાય જરૂરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મહારાષ્ટ્રમાં સત્તા માટે ખેંચતાણ શરૂ:મુંબઈમાં શિંદે જૂથના 29 કોર્પોરેટરો હોટેલમાં શિફ્ટ, ફડણવીસે કહ્યું- મેયર પદ માટે કોઈ વિવાદ નથી; અજીત-શિંદેનું ભેદી મૌન મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીના પરિણામના એક દિવસ પછી મુંબઈમાં રાજકીય હલચલ વધી ગઈ છે. શિવસેના શિંદે જૂથના તમામ 29 કોર્પોરેટરો તાજ હોટેલ પહોંચ્યા છે. બીજી તરફ સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે શિંદે જૂથ અને અજિત પવાર જૂથને જેટલી અપેક્ષા હતી, તેવું પરિણામ આવ્યું નથી. બંને ડેપ્યુટી CM હારથી ઘણા નારાજ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. પાણીમાં ઝેર...હવામાં ઝેર...દવામાં ઝેર...જમીનમાં ઝેર:જવાબ માગશો તો બુલડોઝર ચાલશે, રાહુલ ગાંધીની X પર પોસ્ટ, કહ્યું- ભાજપની ડબલ એન્જિન સરકારનું નવું સ્માર્ટ સિટી મોડલ ભાજપની ડબલ એન્જિન સરકારનું નવું સ્માર્ટ સિટી મોડલ પાણીમાં ઝેર, હવામાં ઝેર, દવામાં ઝેર, જમીનમાં ઝેર અને જવાબ માગો તો બુલડોઝર ચાલશે! આ રીતે આ મોડલમાં ગરીબોનાં મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી હોતું. સરકાર અત્યારે તેમની બેદરકારીથી થયેલી ઇન્દોરની દુર્ઘટનાની જવાબદારી લે - દોષિતોને સજા અને પીડિતોને સારો ઇલાજ અને વળતર જલદીથી અપાવે. લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે ઇન્દોર પહોંચ્યા. દૂષિત પાણી પીવાથી બીમાર થયેલા દર્દીઓ અને મૃતકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી. રાહુલ સૌથી પહેલા બોમ્બે હોસ્પિટલ ગયા, જ્યાં તેમણે દૂષિત પાણીથી પીડિત દર્દીઓ અને પરિવારજનો સાથે મુલાકાત કરી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 'SC-ST મહિલા સાથે રેપ કરો, તીર્થયાત્રાનું ફળ મળશે':'તેમના ધર્મગ્રંથોમાં નિર્દેશ આપેલા છે', MPના કોંગ્રેસ ધારાસભ્યનું મહિલાઓને લઈને શરમજનક નિવેદન મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ધર્મગ્રંથોમાં લખ્યું છે કે જો કોઈ તીર્થ પર જઈ શકતો નથી તો તે દલિત આદિવાસી વર્ગની મહિલા કે બાળકી સાથે બળાત્કાર કરશે તો તેને તે જ ફળ મળશે જે તીર્થ કરવાથી મળે છે. વીડિયોમાં બરૈયા કહી રહ્યા છે- ભારતમાં સૌથી વધુ બળાત્કાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મોસ્ટ ઓબીસી સાથે થાય છે. બળાત્કારની થિયરી એ છે કે કોઈ પણ...કેવા પણ મગજનો વ્યક્તિ રસ્તામાં જઈ રહ્યો હોય, તેને સુંદર અતિ સુંદર છોકરી જો દેખાઈ તો તેનું મગજ વિચલિત થઈ શકે છે તો બળાત્કાર થઈ શકે છે. આદિવાસીઓમાં, એસસીમાં કઈ અતિ સુંદર સ્ત્રી છે? મોસ્ટ ઓબીસીમાં આવી સ્ત્રીઓ, સુંદરીઓ છે? શા માટે બળાત્કાર થાય છે, કારણ કે તેમના ધર્મગ્રંથોમાં આવા નિર્દેશો આપવામાં આવ્યા છે… સંપૂર્ણ સમાચાર વાંચો 5. ફ્લાઇટથી અડધા ભાડામાં લક્ઝરી સફર, PHOTOS:CCTVથી લઈ ઓટોમેટિક દરવાજા સુધીની સુવિધા, મોદીએ દેશની પહેલી સ્લીપર વંદે ભારતનું ઉદ્ઘાટન કર્યુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વંદે ભારત સ્લીપરની મહત્તમ સ્પીડ 180 kmph છે. એ પશ્ચિમ બંગાળના હાવડાથી ગુવાહાટી (કામાખ્યા) વચ્ચેનું 958 કિલોમીટરનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે. ટ્રેનની કુલ મુસાફર ક્ષમતા 1128 છે. એના 16 કોચમાંથી 11 એસી-3 ટાયર કોચ, ચાર એસી-2 ટાયર કોચ અને એક ફર્સ્ટ એસી કોચ છે. સ્લીપર ટ્રેનના થર્ડ એસીનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે. સેકન્ડ એસીનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ એસીનું ભાડું આશરે ₹3,600 છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વડોદરા ભાજપમાં અંદરોઅંદર ડખા, 3 MLAએ સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો: જૂનાં કામો પૂર્ણ ન થતાં નારાજ, MLA શૈલેષ મહેતા ને MP હેમાંગ જોશીની અલગ બેઠક વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો છે. તાજેતરમાં જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ મળીને વિકાસકાર્યોને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં આજે 17 જાન્યુઆરીએ વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકનો 3 MLAએ બહિષ્કાર કર્યો છે. જ્યારે MLA શૈલેષ મહેતા અને MP હેમાંગ જોશીની અલગ બેઠક યોજાઈ હતી. CMને લેટર બાદ ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. લેટર બોમ્બના વિવાદ પછી આજે જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની ગેરહાજરીએ ચર્ચાનો વિષય બનાવ્યો છે. જૂનાં કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે ફાંસીની સજા:આરોપીએ ક્રૂર રીતે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ગંભીર ઈજા કરી'તી, રાજકોટની સ્પે.કોર્ટનો ચુકાદો રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા રેમસિંહ ડુડવાએ ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસિંહ તેરસિંહ ડુડવા (ઉં.વ.30) સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના 43મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ઈરાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ભારતીય નાગરિકો દિલ્હી પરત ફર્યા:ભારત સરકારનો આભાર માન્યો; ઈરાનમાં મોંઘવારીના વિરોધમાં 28 ડિસેમ્બરથી પ્રદર્શનો ચાલુ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ અમેરિકાની ચેતવણીઃ મેક્સિકો ઉપરથી ઉડાન ભરતી સમયે સાવધાન રહો:60 દિવસનો પ્રતિબંધ લાદ્યો; ગયા અઠવાડિયે ડ્રગ કાર્ટેલને લઈને હુમલાની ધમકી આપી હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ ફરવા જતા ગાંડાઘેલા બનતા પ્રવાસીઓ સાવધાન, પળવારમાં મોત:અરુણાચલમાં થીજી ગયેલા તળાવ પર ચાલવાની મજા માણતા કેરળના બે યુવકો ડૂબ્યા, 1નો મૃતદેહ મળ્યો, બીજો ગુમ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ બ્રિટનમાં યુવકે ગુરુદ્વારા સાહિબમાં માંસ ફેંક્યું:સંસદમાં મહિલા સાંસદે મામલો ઉઠાવ્યો, કહ્યું-શીખ ધર્મની મર્યાદા વિરુદ્ધ; સીસીટીવીમાં કેદ થયો આરોપી, પોલીસે ધરપકડ કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ધર્મઃ રામાયણમાં હનુમાનજીના પ્રસંગમાંથી મળતી અમૂલ્ય શીખ:મુશ્કેલ સમયમાં ધૈર્ય અને સકારાત્મક વિચાર સાથે સતત પ્રયત્ન કરતા રહો, સફળતા ચોક્કસ મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ક્રિકેટઃ બાંગ્લાદેશની હવે T20 વર્લ્ડકપમાં ગ્રુપ બદલવાની માગ:ICCને ગ્રુપ-Cમાંથી Bમાં બદલવા કહ્યું; તેની તમામ લીગ મેચ શ્રીલંકામાં રમાશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. બિઝનેસઃ હવે મિનિટોમાં જ UPIથી ઉપાડી શકશો PFના પૈસા:નવી સિસ્ટમ એપ્રિલ સુધીમાં લોન્ચ થશે, તેનાથી જરૂરિયાતના સમયે ફટાફટ રૂપિયા મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો) અજબ ગજબ અજમેરમાં બાળકોએ યુનિવર્સિટીનું પેપર ચેક કર્યું અજમેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટીમાં બાળકો પરીક્ષાના પેપર ચેક કરી રહ્યા હતા. આ ચેકિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ ઘટના અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જોકે, યુનિવર્સિટીએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. ️ ચર્ચિત નિવેદન ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:શું પ્રેગ્નન્સીમાં તાવની દવા ન ખાવી જોઈએ? ટ્રમ્પે કહ્યું હતું- બાળકને ઓટિઝમનો ખતરો; હવે રિસર્ચમાં શું બહાર આવ્યું? 2. વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અઠવાડિયામાં 25 કલાક કામની મંજૂરી:ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ IT, હેલ્થકેર જેવાં 118 સર્વિસ સેક્ટરમાં તક; 2034 સુધી વર્ષે 1.19 લાખને વિઝા આપવાનો ટાર્ગેટ 3. મહારાષ્ટ્રમાં શિવસેના-NCPના વોટ હવે ભાજપના:ઠાકરે બ્રધર્સ મુંબઈ સુધી સમેટાયા, શિંદે પાસે માત્ર થાણે; ભાજપ એકમાત્ર 'ઓલ-સ્ટેટ' પાર્ટી 4. ઈરાન પર હુમલાથી કેમ પાછળ હટ્યું અમેરિકા?:નેતન્યાહુએ કઈ મજબૂરીમાં ટ્રમ્પને રોક્યા; શું જળવાઈ રહેશે ખામેનીની ઈસ્લામિક સત્તા? 5. અમદાવાદમાં ત્રીજા માળે દોડશે બુલેટ ટ્રેન:પેસેન્જર્સને હવામાં ઊડતા હોય એવો અહેસાસ થશે, નીચે ટનલ-વચ્ચે રેલ અને પતંગની થીમ, કાલુપુર સ્ટેશનનો તમે ના જોયેલો ડ્રોન વીડિયો 6. ગામમાં છાણ ઉપાડતા જયદીપ બોલિવૂડના 'મહારાજ' બન્યા:સરકારી પરીક્ષાઓમાં ફેલ થયા, શાહરુખે જાતે ફોન કરી 'કિંગ' આપી; ઇરફાન ખાન સાથેની સરખામણીથી રડી પડ્યા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મૌની અમાસે કર્ક અને મકર રાશિની પ્રતિષ્ઠા વધશે, સિંહ જાતકોનો ભાગ્યોદય થશે, વૃષભ રાશિએ ઉતાવળે નિર્ણય લેવાનું ટાળવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 5:00 am

સન્ડે ફોટો સ્ટોરી:માલેશ્રી નદીમાં વનસ્પતિથી પર્યાવરણને આડઅસર

નદીને માનવ જીવનની ધમની કહેવામાં આવે છે.પણ એજ નદીમાં જો સોંદર્યના બદલે વનસ્પતિનો વિકાસ થવા માંડે ત્યારે સોંદર્યની સાથે નદી , નદીમાં રહેતા જળચરો અને પર્યાવરણનું સંતુલન બગડી જતું હોય છે. આવા જ એક કિસ્સામાં ભાવનગરની નજીક આવેલ માલણકા ગામમાંથી પસાર થતી માલેશ્રી નદીનું સોંદર્ય તેના સાનિધ્યમાં આવેલ સુંદર અવળકંધી માતાના કારણે વધે છે પરંતુ આ નદીના અમુક ભાગમાં લીલી વનસ્પતિએ કબજો જમાવતા નદીનું અને આસપાસના પર્યાવરણનું સંતુલન પણ બગડી શકે એમ હોઈ ત્યાંના ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્ર તાકીદે આ વનસ્પતિને દૂર કરે તે અત્યંત આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:54 am

વાતાવરણમાં નોંધાયો ફેરફાર:બે દિવસમાં તાપમાન 5.8 ડિગ્રી વધ્યુ

ભાવનગર શહેરમાં બે દિવસથી ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને બે દિવસમાં રાતના ઉષ્ણતામાનમાં 5.8 ડિગ્રીનો વધારો થયો છે. આથી શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામમાન વધીને 16.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ છે. જેથી ઠંડીની તીવ્રતા ઓછી થઇ ગઇ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાત્રે પવનની ગતિમાં થતાં ફેરફારને કારણે શહેરના તાપમાનમાં વધઘટ થતી રહી છે. આજે મહત્તમ તાપમાન પણ વધીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જદ કે સાંજના સમયે પવનની ઝડપ વધીને 10 કિલોમીટર થઇ ગઇ હતી. આજે લઘુત્તમ ઉષ્ણતામાન સામાન્ય કરતા 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. શહેરમાં મહત્તમ તાપમાન આજે 0.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઠંડીમાં રાહતનો અનુભવ શહેરીજનોને થયો હતો. ભાવનગર શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા હતુ જે સાંજે ઘટીને 40 ટકા નોંધાયુ હતુ જ્યારે આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે 10 કિલોમીટર થઇ ગઇ હતી. શું કામ રાત્રે ઠંડીની તીવ્રતા વધતી નથી ?વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોય ત્યારે રાત્રિ દરમિયાન પવનની ગતિ 7થી 10 કિમી આસપાસ હોવાથી ઉપર અને નીચલા સ્તરમાં ગરમ-ઠંડા પવનો મિક્સ થાય છે, જેથી ઠંડીનો પારો ઊંચકાતો નથી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નીકળી જાય ત્યારે ઠંડા પવન ફૂંકાવાના શરૂ થાય છે. આજથી પવનની ઝડપમાં વધારો થશેઠંડીમાં હાલ રાહત મળી છે. જો કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર બરફવર્ષા અને ભારે વરસાદ થવાનો છે એને કારણે ફરીથી ઠંડી પણ આવશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 થી 25 તારીખ વચ્ચે ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે. તા.18થી પવનની ઝડપમાં વધારો થશે. ભાસ્કર નોલેજએક સપ્તાહમાં રાતના તાપમાનમાં વધઘટ

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:53 am

ચોરીનો મામલો આવ્યો સામે:પરિવાર ખરીદી માટે સુરત ગયો’ને ઘરમાં 1.97 લાખની ચોરી

ભાવનગરના ફુલસર ઉપવન દર્શન સોસાયટી માં રહેતા નીલમબેન અલ્પેશભાઈ ડાભી નણંદના લગ્ન હોવાથી તેઓ ગત તારીખ 13 જાન્યુઆરીના ઘરે તાળું મારી સુરત ખરીદી કરવા માટે ગયા હતા. બાદ ત્યાંથી ભાવનગર ઘરે પરત ફરતા ઘરના દરવાજાનું તાળું તોડી અંદરની વસ્તુઓ વગેરે અસ્તવ્યસ્ત જણાતા અને ત્યારબાદ ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા, મોબાઈલો સહિત ₹1,97,980ની મતાની ચોરી કરી કોઈ તસ્કરો નાસી છૂટ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:49 am

ગમખ્વાર બનાવ:કૂતરુ આવી જતા બાઇકથી પટકાયેલી મહિલાનું મોત

વેડરોડ ત્રિવેણી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય લીલાદેવી શાહુના પતિ લૂમ્સના કારખાનામાં કામ કરી બે પુત્ર અને બે પુત્રીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે લીલાદેવી શેખપુર ખાતે સંબંધીને મળીને તેમના ભાણેજ સાથે બાઈક પર ઘરે જતા હતા. ત્યારે વેલંજા શુભ ગ્લોબલ વિલેજ ત્રણ રસ્તા પાસે રસ્તા વચ્ચે અચાનક કુતરૂ આડું આવતા અમનકુમારે બાઈક પરથી સંતુલન ગુમાવી દીધું હતું. જેમાં લીલાદેવી બાઈક પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા લીલાદેવીને સારવાર માટે કઠોર સીએચસી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:49 am

લાખોનું ફૂલેકું ફેરવનાર ઠગ ઝડપાયો:આવાસના નામે 60.21 લાખની ચીટિંગ કરનાર દિલ્હીથી પકડાયો

સરકારની આવાસ યોજના હેઠળ મકાન અપાવવાના બહાને સુરતના 49 જણા પાસેથી રૂ.60.21 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર ઠગને શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના કારેલીબાગ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મુળ રાજસ્થાનના ચરૂ જિલ્લાના સુજાનગઢ ગામના વતની અને હાલ પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આવેલા વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા મયંક સંજય મિશ્રા (ઉવ.23) એ સ્લમ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને પોતે સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતા હોવાનું અને આવાસ યોજના તેમની પાસે હોવાનું જણાવીને છેતરપિંડી કરી હતી. વર્ષ 2024 દરમિયાન તેણે શહેરમાં રહેતા 49 જેટલા લોકોને ડ્રો વગર જ આવાસ અને દુકાન અપાવવાની લાલચ આપી ને કુલ રુ.60.21 લાખ પડાવી લીધા હતા. બનાવ અંગે પાલનપુર જકાતનાકા સંત તુકારામ સોસાયટીમાં રહેતા નૈનેશ વિનોદભાઇ ચોટલીયાએ મયંક સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:47 am

પોલીસે 4.78 લાખનો ગાંજો ઝડપ્યો:પુત્રના મોત બાદ પરિવાર ચલાવવા માટે ગાંજો વેચતી 67 વર્ષીય વૃદ્ધા ઝડપાઇ

સચિન જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે તલંગપુર વિશાલનગરમાંથી રૂ.4.78 લાખની કિંમતના ગાંજા સાથે 67 વર્ષની વૃદ્ધ વિધવાને પકડી પાડી હતી. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી સચિન જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતીકે, સચિન જીઆઇડીસી તલંગપુર રોડ પર આવેલા વિશાલનગરમાં એક વૃદ્ધા ગાંજો વેચે છે. બાતમીના આધારે શુક્રવારે પોલીસની ટીમે વિશાલનગર પ્લોટ નં.49માં આવેલા મકાન પર દરોડો પાડી તપાસ કરતા અંદરથી રૂ.4,78,250ની કિંમતનો 9.565 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો કબજે લઇને મકાનમાં રહેતી 67 વર્ષીય વૃદ્ધ મહિલા સોનાદેવી બસંત રામજીસિંગને પકડી પાડી હતી. સચિન જીઆઇડી પોલીસની પ્રાથમિક પુછપરછમાં તે છેલ્લા ત્રણેક મહિનાથી ગાંજો વેચતી હતી અને તેને આ ગાંજો અશ્વનિકુમાર રોડ વિસ્તારમાં રહેતો સંજય નામનો શખ્સ આપી ગયો હતો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વિધવા વૃદ્ધાની ધરપકડ કરી હતી. જ્યારે સંજયને વોન્ટેડ જાહેર કર્યો હતો. સોનાદેવીના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતુમુળ બિહારના સીતામઢીના વતની સોનાદેવીના પતિનું આશરે 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. જ્યારે પુત્ર અને પુત્રવધુ સાથે રહેતી હતી. આશરે 6 વર્ષ પહેલા સોનાદેવીના પુત્ર અને પુત્રવધુનું પણ અવસાન થતા એક પૌત્ર અને એક પૌત્રીની જવાબદારી તેમના પર આવી ગઇ હતી. મજુરી કરીને સોનાદેવી તેની સંભાળ રાખતા હતા પણ ઉમર સાથે તેમનાથી કામ ન થતું ન હતું. દરમિયાનમાં એક શખ્સે તેમને ગાંજો વેચવા માટે આપ્યો હતો. ત્યારેથી તેણી ગાંજો વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:45 am

ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ:હિન્દુ નેતાની હત્યાના આરોપી યુસુફ પઠાણે ચપ્પુ બતાવી યુવકની કાર પડાવી,પોલીસે ઝડપી પાડ્યો

લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીના હત્યારા યુસુફખાન પઠાણ સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ થયો છે. પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લીધો છે સાથે તેની પાસેથી ગાડી પણ કબજે કરી લીધી છે. લિંબાયતમાં વેલ્ડિંગનું કામ કરતા યુવકને આરોપીએ ચપ્પુ બતાવી ધમકાવી તેની કાર લઈ ફરાર થયો હતો. લિંબાયત ખાનપુરામાં તવક્કલ પ્લાજામાં રહેતા મુહમ્મદ ઈકબાલ આરીફ વેલ્ડિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જુન-2025માં આરોપી યુસુફખાન પઠાણ લિંબાયતમાં મુહમ્મદ ઈકબાલના ઘરે આવ્યો હતો અને તેને કહ્યું કે ‘તુમ્હારી ગાડી મુજે બહુત પસંદ હે, અબ તુમ યે ભૂલ જાઓ’, આથી યુવકે કહ્યું કે ‘ગાડી મારા કામ માટે લીધી છે અને તેની લોન પણ બાકી છે’, ત્યારે આરોપીએ ધમકી આપી કે ‘યે ગાડી ભુલ જાઓ નહીં તો તુમ જિંદા નહી રહોગે’, કહી ચપ્પુની અણીએ ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. ક્રેટા ગાડી લઇને ફરાર થયાના ત્રણ દિવસ પછી આરોપી યુસુફ પઠાણે મુહમ્મદ ઇકબાલ પાસેથી ગાડીની આરસી બુક પણ પડાવી લીધી હતી. મુહમ્મદ ઇકબાલ જ્યારે ગાડી પરત માંગતો ત્યારે તે ધમકી આપતો હતો. ઉપરથી ગાડીના લોનના હપ્તા પણ તે પોતે ભરતો હતો. છેવટે તેણે હિંમત કરી ફરિયાદ આપતા લિંબાયત પોલીસે યુસુફખાન ઈશરતખાન પઠાણ(ગોવિંદનગર સોસા, લિંબાયત)ની સામે ખંડણી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે યુસુફખાનની ધરપકડ કરી ક્રેટા કાર કબજે કરી છે. આરોપી લિંબાયતના વેલ્ડરને ધમકી આપી કારના ડોક્યુમેન્ટ્સ પણ લઇ ગયો હતો 5.50 કરોડના સાયબર ક્રાઇમમાં મહિસાગરમાં વોન્ટેડયુસુફખાન સામે મહીસાગરમાં સાયબર ફ્રોડની 5.50 કરોડની રકમ એક ટ્રસ્ટના ખાતામાં નખાવી હતી જેમાં તે વોન્ટેડ હતો લખનૌમાં હિન્દુનેતા કમલેશ તિવારીની હત્યામાં સામેલ યુસુફખાન પઠાણ સામે મહીસાગર જિલ્લાના લુણાવાડા સાયબર ક્રાઇમમાં 5.50 કરોડની સાયબર ચીટીંગની ફરિયાદ થયેલી હતી. જેમાં આરોપી વોન્ટેડ હતો. યુસુફખાને મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડની 5.50 કરોડની રકમ એક ટ્રસ્ટના ખાતામાં જમા કરાવી હતી. જેમાં તેનું નામ સામે આવ્યું હતું. જામીન પર આવ્યો ત્યારે વેલ્ડરે રહેવા જગ્યા કરી હતીલખનૌમાં વર્ષ 2019માં ઓકટોબરમાં હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા થઈ હતી. આ હત્યાકાંડમાં આરોપી યુસુફખાન પઠાણ જામીન પર છૂટયો હતો. લિંબાયતમાં વેલ્ડિંગનું કામ કરતા મુહમ્મદ ઈકબાલ યુસુફ પઠાણને બાળપણથી ઓળખતો હતો. જામીન પર છૂટીને આવ્યો ત્યારે મુહમ્મદ ઈકબાલે લિંબાયતમાં મિત્રને ત્યાં રહેવાની આરોપીને સગવડ કરી આપી હતી. થોડા વખતમાં મિત્રને પણ તેનો સ્વભાવ પસંદ ન આવતા બીજી જગ્યાએ રહેવાનું કહી દીધું હતું. આથી આરોપી યુસુફખાન પઠાણ બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:43 am

720 વિદ્યાર્થીઓને મળશે AI વિશે માર્ગદર્શન:સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા ગાંધી કોલેજ ખાતે ફ્રી AI વર્કશોપ

સંપ્રતિ ફાઉન્ડેશનએ યુવાધનને ટેકનોલોજીના ઉપયોગથી વિકાસની યોગ્ય દિશા, માર્ગદર્શન અને સાહસિકતાના ગુણોમાં વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરવો તે માટે ગુજરાત રાજ્ય માટે નવગુરુકુલ સંસ્થા સાથે MOU કર્યાં છે. જેના પ્રથમ ચરણમાં ગાંધી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમવાર AI ફ્રી વર્કશોપ શરુ કરવામાં આવેલ છે. આ વર્કશોપ17થી 23 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં 720 વિદ્યાર્થીઓને 8-8કલાકના વર્કશોપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ફાઉન્ડેશનના ચેરમેન નિરવ શાહે જણાવ્યું હતું કે સંસ્થા ઉચ્ચ-ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. ઉદઘાટન સમારોહમાં. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે AI ટેકનોલોજીનો ઉપયોગ આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:39 am

શિક્ષાપત્રી કથાનું સમાપન થયું:બાળકોને નાનપણથી પ્રભુ, ગુરુ, પિતૃ અને રાષ્ટ્ર ભક્તિના સંસ્કારોનું સિંચન કરવું જોઈએ : સંતશ્રી

મોટા વરાછા, મહાદેવ ચોક ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના 14માં પાટોત્સવ અને સંપ્રદાયના બંધારણ સમાન ગણાતા ગ્રંથ શિક્ષાપત્રીના દ્વિ-શતાબ્દી વર્ષ નિમિત્તે ઉત્તરાયણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શિક્ષાપત્રી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના અંતિમ ચરણમાં વક્તા સતશ્રીએ જણાવ્યું હતું કે દરેક પરિવારોએ બાળકોને નાનપણથી જ પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, પિતૃ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના સંસ્કાર આપવા જોઈએ. જેનામાં ભક્તિ હશે તે માણસ ઉપકારક હશે ભક્તિ યુક્ત માણસ ક્યારેય કોઈનું અહિત કરશે નહીં. અત્યારે ટેકનોલોજી અને આધુનિકતામાં આપણે ખૂબ આગળ વધ્યા છે આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે પરંતુ આપણા મૂળભૂત હિંદુ વૈદિક સંસ્કૃતિમાં કહેલા 16 સંસ્કારોને ભૂલતા જઈએ છીએ. વૈદિક પરંપરામાં માતાના ગર્ભમાં જીવનો સંચાર થાય તે પહેલા સંસ્કારની શરૂઆત થઈ જાય છે. રોજગાર-પરિવાર-વ્યવહાર સાથે ભક્તિ માટે પણ સમય આપવોદરેક વ્યક્તિને 24 કલાકનો સમય મળે છે તેમાંથી ધંધા રોજગાર, પરિવાર, સંતાનો, પત્ની, માતા-પિતાને કેવી રીતે સમય ફાળવવો તેનો આયોજન કરવું જોઈએ. તે બધું કર્યા પછી પરલોકના કલ્યાણ માટે ભક્તિમાં સમય આપવો જોઈએ. શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતો એ દરરોજ મંદિરે જવું અને કીર્તન કરવું.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:38 am

જેઇઇ મેઇન-1નું એડમિટ કાર્ડ જાહેર કરાયા:સ્માર્ટ સ્ટડી: પાંચ વર્ષના પેપરમાં 22 ચેપ્ટરમાં 50%થી વધુ પ્રશ્નો પૂછાયા

JEE મેઈન-2026 (સેશન-1) ના એડમિટ કાર્ડ જાહેર કરાયા છે. 21 થી 24 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ વેબસાઇટથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. છેલ્લા 5 વર્ષના પેપર્સનું વિશ્લેષણ દર્શાવે છે કે માત્ર 22 મહત્વના પ્રકરણો 50% પેપર કવર કરે છે. ભાસ્કર એનાલિસિસ અહીં જ છુપાયેલા છે 22 ચેપ્ટરના 150થી વધુના માર્કસ આત્મવિશ્વાસ વધારવા સૌથી પહેલા કયા પ્રકરણો કરવા?

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:36 am

GTUની નવી એજ્યુકેશન ફોર્મ્યુલા:હવે એન્જિનિયરિંગમાં વન પ્લસ વનની ઓફર એકસાથે જ બે ફિલ્ડના એક્સપર્ટ બની શકાશે

GTU દ્વારા NEP-2020ને ધ્યાનમાં રાખી એક નવી કોમ્પ્રિહેન્સિવ પોલિસી જાહેર કરી છે. આ સ્કીમ હેઠળ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હવે પોતાની મેઇન ડિગ્રીની સાથે માઇનોર કે ઓનર્સ સ્પેશિયલાઇઝેશન કરી ડબલ બેનિફિટ મેળવી શકશે. આ માટે યુનિવર્સિટીએ સત્તાવાર સર્ક્યુલર બહાર પાડીને નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. GTU ના જણાવ્યા મુજબ, આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો ક્રેઝ છે, ત્યારે વિદ્યાર્થીને પ્રેક્ટિકલ સ્કિલ્સથી સજ્જ કરવા આ નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટી મોટી કંપનીઓ સાથે ઇન્ડસ્ટ્રી-લેડ પ્રોગ્રામ પણ ચલાવશે, જેથી સ્ટુડન્ટ્સને માર્કેટમાં શું ચાલે છે તેનું વાસ્તવિક જ્ઞાન મળશે. પોતાની બ્રાન્ચ ઓનર્સ, બીજી માઈનોર વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટ કે ઇન્ડસ્ટ્રી પ્રોગ્રામ પસંદ કરી શકશે

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:32 am

SOGએ 7 દિવસમાં હાજર રહેવાની તાકીદ કરતી નોટિસ આપી:લેબોરેટરીમાં એમડી ડ્રગ્સની બનાવવાના કેસમાં દિનેશ અણઘણની પૂછપરછ થશે

શહેરના પરવટ પાટિયા કેનાલ રોડ પર પોલારીસ શોપિંગ સેન્ટરમાં SOGએ દરોડો પાડી ડીક્રીયા ફુડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરીમાંથી MD ડ્રગ્સ બનાવવાનું રેકેટ પકડી પાડયું હતું. હવે આ બાબતે વધુ માહિતી મેળવવા SOGએ ઈશા અણઘણના પિતા દિનેશ અણઘણને પૂછપરછ માટે બોલાવવા નોટિસ આપી છે. નોટિસમાં SOG દ્વારા 7 દિવસની અંદર હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે. અગાઉ લેબના માલિક ઈશા અણઘણની SOGએ 5 કલાક સુધી પૂછપરછ કરી હતી. SOGના સ્ટાફે નોટીસમાં દિનેશ અણઘણ પાસેથી દીકરી ઈશાએ જે લેબ શરૂ કરી ત્યારે સાધન સામગ્રી ખરીદી કરી તે અંગેના નાણાકીય રોકાણની વિગતો માંગી છે સાથે દિનેશ અણઘણના બેંક ખાતાની વિગતો માંગી છે. કંપનીમાંથી કેમિકલ ટિફિન સંતાડી લાવતો હોવાની શંકાલેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવવા માટે ડ્રગ્સમાફીયા બ્રિજેશ ભાલોડીયા સચીન જીઆઇડીસીની જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાંથી કેમિકલ ટીફીન બોક્ષમાં સંતાડી લાવતો હોવાની શક્યતા એસઓજીને લાગી રહી છે. એમડી ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ બાબતે એસઓજીના સ્ટાફે કંપનીમાં પણ તપાસ શરૂ કરી છે. ઈશાની લેબમાં બ્રિજેશ ભાલોડીયાને લંડનમાં બેઠેલા જનક જાગાણીએ એમડી ડ્રગ્સ બનાવવાની વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:29 am

વિપક્ષની માંગ:કચરા કૌભાંડમાં SIT રચી તપાસ કરવા વિપક્ષની માંગ

સ્વચ્છતા સર્વેક્ષણમાં છેતરપિંડી કરવા કાગળ પર ‘ફૂલ ગુલાબી’ ચિત્ર ઊભું કરવાનું સુનિયોજિત ષડયંત્ર હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. મહાપાલિકામાં ગાજેલા કરોડો રૂપિયાના કચરા કૌભાંડમાં હવે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર મામલે સત્તાધારી પક્ષ અને મળતિયા કોન્ટ્રાક્ટર વચ્ચે મેળાપીપણું હોવાનો ગંભીર આક્ષેપ કરી વિપક્ષી નેતા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં સૌથી ગંભીર મુદ્દો ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંગેનો છે. વિપક્ષ નેતા પાયલ સાંકરિયાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ સુરતને ગાર્બેજ ફ્રી સિટી દર્શાવવા માટે કાગળ પર બધું બરાબર હોવાનું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરાયું હતું. પ્રજાના પરસેવાની કમાણીના 215 કરોડ રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવી અનિવાર્ય બની ગયું છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:27 am

સુમન સ્કૂલની જગ્યા ફેરવવાનો વિવાદ:400 લોકોએ CMને પત્ર લખીને કહ્યું હતું કે જૂના સ્થળે જ સ્કૂલ બનાવો

વોર્ડ-7-કતારગામ-વેડ વિસ્તારમાં મંજૂર થયેલી સુમન માધ્યમિક શાળાના ગેરકાયદે ફેરફારને લઈને વિવાદ ગરમાયો છે. આ ભોપાળું બહાર આવતાં સ્થાયી ચેરમેન રાજન પટેલે ગત બેઠકમાં ઇજારદાર વર્ક ઓર્ડર વગર જ કામગીરી કઈ રીતે શરૂ કરી દેવાઇ? તે મામલે તપાસના અને સ્થાનિક લોકોનો મત જાણીને આગળનો નિર્ણય કરવા દરખાસ્ત મુલતવી કરી દીધી હતી. જોકે, સ્થાનિક સંખ્યાબંધ સોસાયટીઓના લોકોએ મંજૂર સ્થળે જ સ્કૂલ નિર્માણ કરવાની અને ઇજારદારે કામગીરી શરૂ જ કરી નહીં હોવાથી વહેલી તકે સ્કૂલ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીને 2 મહિના અગાઉ ફરિયાદ કરી હતી. ગત તારીખ 14 નવેમ્બરે 400 જેટલા સ્થાનિક લોકોએ જાતે સહી કરીને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે લોકોનો મત પણ જુની મંજુર જગ્યાએ જ સ્કૂલ બને તે જ રહ્યો હોવાનું આ સાથે સ્પષ્ટ થયું છે. ગત તારીખ 17 જુલાઈ 2025 ના રોજ સ્થાયી સમિતિમાં ઠરાવ પસાર થયા બાદ 6 ઓગસ્ટ 2025 ના રોજ વર્ક ઓર્ડર પણ આપી દેવાયો હતો છતાં પણ સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાની ભલામણ હેઠળ ઝોનના કાર્યપાલક ઇજનેરે સ્કૂલ કામગીરી જ અટકાવી દીધી હોય ગરીબ બાળકોના શિક્ષણના અધિકારનું હનન થઈ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં કર્યો છે. મંજૂર જગ્યા કિંમતી હોય જમીન પધરાવી દેવાનો ખેલવોર્ડ-7 કતારગામ-વેડ રોડ ફા.પ્લોટ.નં-94 પર સ્કૂલ નિર્માણનો ઠરાવ થયો હતો તેમજ ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું. પરંતુ રાજકારણ રમાતાં વોર્ડ નંબર-8 ડભોલી-સિંગણપોર ગાયત્રી મંદિર પાછળ કોમર્શીયલ હેતુના પ્લોટ પર જગ્યા ગેરકાયદે બદલી કઢાઈ હતી. મુખ્યમંત્રીને થયેલી ફરિયાદમાં સ્થાનિકોએ એમ પણ જણાવ્યું છે કે, મંજુર જગ્યા ઘણી કિંમતી હોય જમીન માફિયાઓને પધરાવી દેવા માટે જ આ ખેલ ખેલાયો છે, આ જગ્યા બદલવા અંગે જવાબદાર ધારાસભ્ય વિનુ મોરડિયા, કાર્યપાલક ઇજનેર કામિની દોશી સહિતનાઓ સામે કાર્યવાહી કરવા પણ તેમાં માંગ કરવામાં આવી હતી. તેમજ આ ખેલ સામે સ્થાનિકોએ છેક દિલ્હી સુધી ફરિયાદ કરવાની ચિમકી પણ આ 2 મહિના પહેલા મુખ્યમંત્રીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:26 am

ભાસ્કર એક્સક્લુસિવ:એરપોર્ટ પર AI લોકોની વર્તણૂંક જાણશે, આમ તેમ જોઈ ગભરાશે તે પકડાઈ જશે

સુરત એરપોર્ટ પર સહિત દેશભરમાં કસ્ટમ અધિકારીઓની વર્દી પર કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જેથી તેઓની પેસેન્જર સાથેની વાતો કે ચેકિંગ દરમિયાનની ગતિવિધિ સહિત બધું જ રેકર્ડ થઈ જશે. રેકોર્ડિંગ રોજન સર્વર પર અપલોડ કરવું પડશે જેનું મોનિટરિંગ ઉચ્ચ લેવલથી કરવામા આવશે. એરપોર્ટ પર AI લોકોની વર્તણૂંક જાણશે, આમ તેમ જોઈ ગભરાશે તે પકડાઈ જશે અધિકારીઓએ છ મહિના સુધી બેકઅપ રાખવું પડશેએરપોર્ટ પર ડયૂટી ધરાવતા દરેક કસ્ટમ અધિકારીઓને આ કેમેરા આપવામા આવ્યા છે સુરતમાં ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે છે અને તેનુ ટોટલ રેકોર્ડિંગ સાડા ચાર થી પાંચ કલાકનુ રહે છે. આ રોજનું રેકોર્ડિંગ અધિકારીઓએ અંદાજે છ મહિના સુધી રાખવુ પડશે. જો કે, અધિકારીઓને સમસ્યા એ છે કે તેમની પાસે બેકઅપ રાખવા માટેની વિશાળ સિસ્ટમ નથી. ટેકનોલોજીનો ઉપયોગ, સતર્કતા વધારશે અને સેફ્ટી પણઇડીના મામલાના સ્પે.પી.પી. વિશાળ ફળદુ કહે છે કે ટેકનોલોજીનો ઉપયોગ દરેક એરપોર્ટ પર સતર્કતા વધારશે અને સેફ્ટી પણ વધારશે. એઆઇના ઉપયોગના આધારે કરચોરી શોધવાના પ્રયાસ તો શરૂ થઈ ગયા છે હવે આ સિસ્ટમ સ્મગલિંગ કેસ પકડવામાં વપરાશે તો તેના પ્રભાવકારી પરિણામો જોવા મળે એવી આશા છે. એરપોર્ટ પર શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિ જાણી તેને પકડી શકાશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:24 am

સન્ડે ફોટો સ્ટોરી:નાનપુરાની પાલિકાની સ્કૂલમાં મધ્યાહન ભોજનનો ‘ભાર’ બાળક પર, શિક્ષકો ગપ્પામાં મશગૂલ અને બાળકો પાસે વાસણો ઉચકાવાઈ રહ્યા છે

સરકાર એક તરફ વિદ્યાર્થીઓ પર ભાર વિનાનું ભણતરની સ્થિતિ બનાવી રાખવા મોટા ઉપાડે જાગૃતિ ફેલાવી રહી છે, ત્યારે સુરતના નાનપુરા ચેમ્બર ઓફ કોમર્સ નજીક આવેલી પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસવાની જવાબદારી માસૂમ વિદ્યાર્થીઓ પર જ થોપી દેવાઇ છે, જે બાળકોના અધિકારો અને સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્ન ઊભા કરે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન તરફથી ફાળવાતા ભોજન ભરેલા ભારે વાસણો વિદ્યાર્થીઓને ઉઠાવવા અને ખેંચી લાવવા માટે મજબૂર કરાતા હોવાના દ્રશ્યો સપાટી પર આવ્યા છે. સ્કૂલના ગેટ સુધી વાહન પહોંચી ન શકતું હોય ત્યારે બાળકોને દૂરથી ભારે વાસણો ઉંચકી લાવવાની ફરજ પણ પડાઇ રહી છે. અચરજ એ છે કે વિદ્યાર્થીઓ જ્યારે ભોજનનો ભાર ઊંચકવામાં હેરાન થઈ રહ્યા હતા, ત્યારે શાળાના શિક્ષકો લોબીમાં બેસીને ગપ્પા મારતા નજરે પડ્યા હતા, જે તેમની જવાબદારી અને સંવેદનશીલતા ઉપર પણ મોટો પ્રશ્ન ચિહ્ન મૂકે છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:21 am

ભાસ્કર એક્સક્લુસિવ:લાંચમાં 70% આરોપી નિર્દોષઃ રૂપિયા કયા ખિસ્સામાં મુક્યા તે સાબિત ન થયું, કોઈ કેસમાં આરોપી ન ઓળખાયો, તો કોઈમાં સાક્ષી ફરી ગયા

તાજેતરમાં જ ફાયર અધિકારી ઇશ્વર પટેલ સહિતના આરોપીઓ લાંચના છટકામાં સપડાયા છે ત્યારે લાંચના આવા 300 કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, જેનો ઝડપી નિકાલ આવે એ માટે હવે 10થી વધુ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરી દેવાયા છે. કેટલાંક એવા કેસ પણ તાજેતરમાં જ સામે આવ્યા છે જેમાં પુરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ છૂટ્યા હોય. બે વર્ષની સરેરાશ જોઈએ તો 70 ટકાથી વધુ આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. ઘણીવાર સાહેદો ફરી જાય છે. ફરિયાદી આરોપીને ઓળખી શકતો નથી કે આરોપીની કારમાં લાંચની રકમ મૂકી દીધી તો તે લાંચ તરીકે સાબિત ન થઈ. એક કેસમાં તો આરોપીએ રકમ ડાબા હાથથી જમણામાં લઈ ગજવામાં મૂકી તો પોલીસ પુરાવા રજૂ કરી ન શકી. એક કેસમાં અધિકારીએ કહ્યું લાંચની રકમ આગળના ગજવામાં મૂકી, સાહેદે કહ્યું કે આગળ ગજવું જ ન હતું. અન્ય કેસમાં આરોપીએ ક્હ્યું કે 30 કે 50 આપી જાઓ, પરંતુ તેમાં લાંચ શબ્દનો ઉલ્લેખ ન હોવાથી ગુનો સાબિત ન થયો. કેસ- 1 : ટ્રેપ ફેલ જતાં આરોપીના હાથ પકડીને બીજા કોન્સ્ટેબલે ખિસ્સામાં નોટ મૂકીલાંચના એક કેસમાં જ્યારે કેસ ટ્રાયલ પર આવ્યો ત્યારે આરોપીએ બચાવ કર્યો હતો કે ટ્રેપ ફેલ જતાં આરોપીના બે હાથ પકડીને બીજા કોન્સ્ટેબલે ખિસ્સામાં નોટ મૂકી દીધી હતી. આ કેસમાં જે સીઝર મેમો બનાવવામાં આવ્યો હતો તેના પર ફરિયાદીની સહી ન હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી પાસેથી આરોપીએ લાંચની રકમ સ્વીકારી પેન્ટના ખિસ્સામાં મુકી તે હકીકત બાબતે વ્યાજબી શંકા ઉપસ્થિત થાય છે. કેસ- 2 : આગળ ગજવું ન હતું તો રકમ ક્યાં મૂકી તેના પુરાવા જ મળી ન શક્યાઓવરલોડિંગ ટ્રકના કેસમાં PSIએ 50 હજારની લાંચ માગી. આ કેસ જ્યારે ટ્રાયલ પર આવ્યો ત્યારે તેમાં તપાસ અધિકારીએ કહ્યું કે, લાંચની રકમ લઇને આગળના ગજવામાં મૂકી અને તેની સામે સાહેદને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેણે ઊલટમાં કહ્યું કે લાંચની રકમ લઇને પાછળના ગજવામાં મૂકી, આગળ ગજવું ન હતું. ઉપરાંત ઓડિયો રેકોર્ડિંગમાં આરોપીએ 35 અને 50 આપી દેવાનું કહે છે કે પરંતુ તેમાં લાંચ શબ્દનો ઉલ્લેખ ન હતો. કેસ- 3 : અધિકારીએ કહ્યું કે કવર આપ્યું પણ ફરિયાદીએ કહ્યું કે રોકડા આપ્યા હતાપાલિકાના બે અધિકારી સામે 3500ની લાંચનો કેસ હતો. બાંધકામ સાઇટ પર પાણીના છંટકાવના લીધે મચ્છર થતા હોવાની ફરિયાદ હતી. આ કેસની ટ્રાયલમાં ટ્રેપ કરનાર અધિકારીએ કહ્યું કે આરોપીને કવર અપાયું હતું, જે જમણા હાથે લીધું હતું, પરંતુ ફરિયાદીએ કહ્યું કે, રોકડા આપ્યા હતા જે ખિસ્સામાં મૂકયા. ફરિયાદ પક્ષ એ સાબિત ન કરી શક્યો કે લાંચની રકમ માંગવામાં આવી હતી. કેસમાં અધિકારી રસીદ બુક લઇને પણ ગયા હતા. 2025માં એસીબીએ 14 કેસ કર્યા2025માં કોર્ટમાં લાંચ કેસમાં 22 ચુકાદા આવ્યા, જેમાંથી 6 કેસમાં જ આરોપીઓને સજા થઈ શકી છે. બાકીના 18 નિર્દોષ સાબિત થયા છે. ગત નાણાકીય વર્ષમાં 8 ચુકાદા આવ્યા હતા, જેમાંથી 5માં આરોપીઓ નિર્દોષ સાબિત થયા હતા. 2025માં એસીબીએ 14 કેસ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:18 am

સિટી એન્કર:2024ના ડિસેમ્બરની સરખામણીમાં 2025માં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 8.91 ટકા, લેબગ્રોનમાં 3.31 ટકાનો વધારો થયો

અમેરિકા દ્વારા ટેરિફ નાંખવામાં આવ્યો છે પરંતુ સુરત અને મુંબઈના હીરા અને જ્વેલરી ઉત્પાદકોએ અન્ય દેશોમાં માર્કેટ શોધી લેતા જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. 2024ના ડિસેમ્બરમાં 6577 કરોડ રૂપિયાના નેચરલ ડાયમંડ એક્સપોર્ટ થયા હતાં જે વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં 7163 કરોડ રૂપિયાના એક્સપોર્ટ થયા હતાં. આમ વર્ષ 2025ના ડિસેમ્બરમાં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 8.91 ટકાનો વધારો થયો હતો. તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પણ 3.31 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં 711 કરોડ રૂપિયાના લેબગ્રોનનું એક્સપોર્ટ થયું જ્યારે વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં 746 કરોડનું એક્સપોર્ટ થયું. સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 16.11 ટકા, સિલ્વર જ્વેલરીમાં 270 ટકા વધારો થયો હતો. ભાસ્કર નોલેજયુએઈ, ઓસ્ટ્રેલિયામાં એક્સપોર્ટ વધ્યુંઅમેરિકા દ્વારા ડાયમંડ પર 56 ટકા જ્યારે જ્વેલરી પર 50 ટકા ટેરીફ નાંખ્યો છે. જેને લઈને વેપારીઓએ અન્ય દેશોમાં બજારની શોધ કરી હતી. જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં યુએઈમાં 28 ટકા, હોંગકોંગમાં 28 ટકા જ્યારે ઓસ્ટ્રેલિયામાં 40 ટકાનો વધારો થયો છે. ઉદ્યોગકારોએ સમયસર માર્કેટ ડાયવર્સિફિકેશન કર્યુ હોવાથી એક્સપોર્ટમાં વધારો થયો છે. આગામી સમયમાં યુએઈ, ઓસ્ટ્રેલિયા અને એશિયન બજારો પર વધુ ફોકસ રાખવામાં આવે તો અમેરિકાની ઘટતી માંગની અસર ઘટાડી શકાય છે. સિલ્વર જ્વેલરી એક્સપોર્ટમાં 270%ના વધારો - આંકડા રૂપિયા કરોડમાં

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:12 am

લૂંટની ઘટના:આંબેડકરનગરમાં યુવક પર હુમલો કરી સોનાનો ચેઇન-રોકડ પડાવી લીધા

શહેરના આંબેડકરનગરમાં રહેતાં પ્રકાશ વસંતભાઇ ચાવડા (ઉ.વ. 35) પર 7 શખ્સે હુમલો કરી સોનાનો ચેઇન અને રોકડ પડાવી લીધા હતા. પ્રકાશ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ સોલંકી, ગીરધર ઉર્ફે ગીધો સોલંકી, પુંજા સોલંકી, ભાવેશ સુમેશરા, ધવલ, જયદીપ તથા હમીરના નામ આપ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:07 am

રિક્ષા ગેંગનો ભોગ બન્યો યુવક:યુવકના ખિસ્સામાંથી મહિલા સહિતની ગેંગે રૂ. 34 હજાર સેરવી લીધા

શહેરમાં વધુ એક યુવક રિક્ષાગેંગનો ભોગ બન્યો હતો. યુવકના ખિસ્સામાંથી રૂ. 34800 સેરવી લેવાયા હતા. માંડાડુંગર પાસેની માધવવાટિકામાં રહેતો પ્રભાત જંજવાડિયા નામનો યુવક શુક્રવારે બપોરે રિક્ષામાં બેસીને બહાર જવા નીકળ્યો હતો. રિક્ષામાં અગાઉથી જ એક મહિલા સહિત બે શખ્સ મુસાફરના સ્વાંગમાં બેઠા હતા. રિક્ષા આજીડેમ ચોકડી નજીક પહોંચી હતી ત્યારે મહિલાએ ઉલટી ઉબકા થવાનો ઢોંગ કર્યો હતો. થોડીવાર બાદ મહિલાની તબિયત લથડી છે તેને હોસ્પિટલે લઇ જવી પડશે તેમ કહી રિક્ષા ચાલકે પ્રભાતને ઉતારી દીધો હતો. રિક્ષામાંથી ઉતરેલા યુવકે થોડીવાર બાદ પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે તેને ખિસ્સામાંથી રૂ. 34800 સેરવાઇ ગયાની જાણ થઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:06 am

ગુનો નોંધાયો:ઉદ્યોગનગરમાં જાહેરમાં બખેડો કરનાર 6 શખ્સ સામે ગુનો નોંધાયો

શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં જાહેરમાં કેટલાક કખ્સો ગાળાગાળી કરી બખેડો કરતા હોવાનો વીડિયો ફરતો થયો હતો. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી બખેડો કરનારની ઓળખ સ્પષ્ટ કરી હતી. પોલીસે આ મામલે ગજેન્દ્ર ઉર્ફે ગજ્જો, બહાદુરસિંહ જાદવ, ભાવેશ વિનોદ મકવાણા, હર્ષદ રામસી ઠાકોર, અમિત નિલેશ કુકાવા, જગદીશ રાકેશ ઉધરેજિયા અને અનિલ શકરા ઉધરેજિયા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે તમામ નઆરોપીઓની ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:05 am

SIRની કામગીરી:રાજકોટ જિલ્લામાં 2.25 લાખ મતદારને નોટિસ, દાવો કરવા આજે છેલ્લો દિવસ

ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં નવેમ્બર માસમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિસેમ્બર મહિનામાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે ત્યારે આગામી 18 જાન્યુઆરી સુધી હક્ક-દાવા રજૂ કરવા સમય આપવામાં આવ્યો હોય ચૂંટણી પંચના દિશાનિર્દેશ મુજબ રાજકોટ જિલ્લામાં SIR પ્રક્રિયામાં 2002ની તુલનાએ પુરાવા રજૂ નહીં કરનાર 2.25 લાખથી વધુ મતદારને નોટિસ આપી પુરાવા સાથે સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં અનમેપ મતદારોની સુનાવણી માટે 200થી વધુ અધિકારીઓને ખાસ પાવર આપી પ્રત્યેક અધિકારીઓ દૈનિક 50-50 અનમેપ મતદારોની સુનાવણી કરી રહ્યા છે. જેમાં આજે હક્ક-દાવા રજૂ કરવા માટે અંતિમ દિવસ છે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ 23,91,027 મતદારને ઘેર-ઘેર એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરી તમામ મતદારોનું વર્ષ 2002ની મતદાર યાદીની તુલનાએ મેપિંગ કરવામાં આવતા 20,55,357 મતદારોનું મેપિંગ પૂર્ણ કરી ડિજિટાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 2,25,329 મતદાર વર્ષ 2002ની મતદાર યાદીની તુલનાએ પુરાવા રજૂ કરી નહીં શકતા SIR બાદ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં અનમેપ કેટેગરીમાં સમાવેશ કરી હાલમાં તમામ મતદારને નોટિસ આપી પુરાવા મેળવવા સુનાવણી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:04 am

3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો નોંધાયા:રાજકોટ જિલ્લામાં 5 માસમાં 9 હજાર NFSA રેશનકાર્ડ ઘટ્યા

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હેઠળ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને દર મહિને નિઃશુલ્ક ઘઉં -ચોખા તેમજ રાજ્ય સરકાર દ્વારા રાહતભાવે ચણા, તુવેરદાળ, ખાંડ અને નમક સહિતની વસ્તુઓ જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે વિતરણ કરવામાં આવે છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં હાલ 3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો નોંધાયેલ છે અને કુલ 12,23,212 જનસંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ મળી રહ્યો છે. જોકે ઈ-કેવાયસી સહિતની કામગીરીને લઈ છેલ્લા પાંચ માસમાં 9 હજાર જેટલા રેશનકાર્ડ ધારકો ઘટ્યા છે. હાલમાં જિલ્લામાં ઈ-કેવાયસીની 93.67 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અજય ઝાંપડાના જણાવ્યા મુજબ જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ એનએફએસએ રાશનકાર્ડ ઈ- કેવાયસી કામગીરી ચાલુ છે જેમાં 3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો પૈકી 3,04,711 રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામીગીરી પૂર્ણ થતા 93.67 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. બાકી રહેતા 2056 એનએફએફએ રેશનકાર્ડ ધારકોને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં જિલ્લામાં 74645 લાભાર્થીને નિઃશુલ્ક અનાજનો લાભ અટક્યો છે ત્યારે ઈ-કેવાયસી ન કરાવનાર રેશનકાર્ડ ધારકોને નોટિસ આપ્યા બાદ નામ કમી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:02 am

ધારાસભ્યોની પાંખી હાજરી:સંકલન સમિતિની બેઠકમાં 9 MLA જ હાજર, 47માંથી 42 પ્રશ્ન રિપીટ

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં 9 ધારાસભ્ય અને એક સાંસદ હાજર રહ્યા હતા. તેમાંથી શહેર ભાજપના ધારાસભ્યોએ કુલ 47 પ્રશ્નો પૂછ્યા હતા, જેમાંથી 42 પ્રશ્નો લાંબા સમયથી રિપીટ હતા. અધિકારીઓ દ્વારા દર મહિને યોજાતી બેઠકમાં એક જ જવાબ ધારાસભ્યોને અપાય છે. જ્યારે કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય દ્વારા કુલ 27 પ્રશ્નો પૂછ્યા હતા અને માત્ર 2 પ્રશ્નો રિપીટ પ્રકારના જોવા મળ્યા હતા. આ ઉપરાંત સાંસદ નરહરિ અમીન બેઠકમાં હાજર રહ્યા હતા, પણ લેખિતમાં કોઈ પ્રશ્ન પૂછ્યા ન હતા. નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાણીએ મૌખિક પ્રશ્નો પૂછ્યા હતા, કોઈ લેખિત પ્રશ્ન પૂછ્યો ન હતો. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ બેઠકમાં કોઇ લેખિત પ્રશ્ન પુછાયો ન હતો. અમદાવાદના ધારાસભ્યોમાંથી 50 ટકા ધારાસભ્યો પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા નથી અને અમદાવાદના સાંસદો પણ ભાગ્યે જ કલેક્ટર કચેરી ખાતે યોજાતી સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા હોય છે. જ્યારે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો હતો, પણ તેઓ હાજર ન હતા અને વેજલપુરના ધારાસભ્યે પણ પ્રશ્ન પૂછ્યા હતા અને પોતે હાજર રહ્યા ન હતા. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા મોટા ભાગના પ્રશ્નો સરકારી જમીન પર થયેલા દબાણ અંગે પૂછતા હોય છે. લોકોની સમસ્યાને લગતા પ્રશ્નો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. જ્યારે કેટલાક ધારાસભ્યો તો વર્ષમાં એકાદ વખત જ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા હોય છે, જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમરાઇવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો સમાવેશ થાય છે. શહેર ભાજપના ધારાસભ્યોના 98 ટકા પ્રશ્નો એક વર્ષથી એકના એક જ, કોંગ્રેસના ધારાસભ્યે 27 પ્રશ્ન પૂછ્યા ધારાસભ્ય પૂછેલા પ્રશ્નો નવા પ્રશ્નો રિપીટ પ્રશ્નો ઇમરાન ખેડાવાલા 27 25 2 અમિત ઠાકર 2 1 1 અમિત શાહ 7 0 7 હર્ષદ પટેલ 17 1 16 જિતેન્દ્ર પટેલ 17 2 15 અમૂલ ભટ્ટ 3 0 3 કુલ 73 29 44

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am