બસમાં બેસવા મુદ્દે યુવતીને લાફો મરાયો:ઉંદેલ ચોકડીએ ઘટના, યુવક સામે ગુનો દાખલ
ખંભાત તાલુકાના ખટનાલ ગામની એક યુવતીને ઉંદેલની ખોડીયાર ચોકડીએ બસમાં બેસવા દેવા બાબતે ગામના જ યુવકે લાફો માર્યો હતો. આ મામલો ખંભાત રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદી હેલીબેન પુનમભાઈ પટેલ (ઉ.વ. 19) ખટનાલ ગામના નારણપુરા ખાતે રહે છે. તેઓ પેટલાદની આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં એફવાયબીએસસીનો અભ્યાસ કરે છે. ઘટના સમયે હેલીબેન તેમની બહેનપણીઓ પૂર્વીબેન સંદિપભાઈ પટેલ અને હેપ્પી જીતેન્દ્રભાઈ પટેલ સાથે કોલેજ જવા માટે ઉંદેલની ખોડીયાર ચોકડીએ બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગામમાં જ રહેતો મનિષભાઈ વિષ્ણુભાઈ રબારી ત્યાં આવી પહોંચ્યો હતો અને હેલીબેનને ગાલ ઉપર લાફો મારી દીધો હતો. હેલીબેને લાફો મારવાનું કારણ પૂછતાં મનિષભાઈએ જણાવ્યું કે, 'ગઈકાલે તે મારા મિત્રોને બસમાં સીટ ઉપર કેમ બેસવા ના દીધા?' હેલીબેને સ્પષ્ટતા કરી કે તેમણે તેમના મિત્રો માટે જગ્યા રોકી હતી, તેથી મનિષભાઈના મિત્રોને ત્યાં બેસવાની ના પાડી હતી. આ સાંભળીને મનિષભાઈએ ધમકી આપતા કહ્યું, 'હું રબારીનો છોકરો છું, તારાથી જે થાય તે કરી લેજે, અને તમારામાં તાકાત હોય તો ખટનાલ રબારીવાસમાં આવી જજો.' હેલીબેનના મિત્રો તેમજ પિનાકીનભાઈ જયંતિભાઈ પટેલે મનિષભાઈને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ધક્કો મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ હેલીબેને ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) પોરબંદર દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને મંચ પૂરો પાડવાના હેતુથી આર્ય કન્યા ગુરુકુલ કોલેજ ખાતે આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વકતૃત્વ કલાનું પ્રદર્શન કર્યું હતું. યુવા વક્તાઓએ વર્તમાન સમયના પ્રસ્તુત એવા વિવિધ વિષયો પર છટાદાર રજૂઆત કરી હતી. મુખ્ય વિષયોમાં 'યુવાનોમાં વધતો માનસિક તણાવ: કારણો અને ઉપાયો', 'ભારતીય લોકશાહી: મજબૂત પાયો કે બદલાતી ઓળખ?' અને 'AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને માણસ: ભવિષ્યની દિશા' નો સમાવેશ થતો હતો. સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વ્યક્તિગત શ્રેણીમાં ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની ગ્રીષ્મા વારા પ્રથમ, માધવાણી કોલેજની હિનલ મોકરિયા દ્વિતીય અને ગુરુકુલ મહિલા કોલેજની અફસાના ખરજ તૃતીય સ્થાને રહી હતી. કોલેજ વિભાગમાં, સમગ્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. ઋષિકા હાથી અને બિરાજ કોટેચાએ સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઈ પ્રમુખ પ્રતીક લાખાણી, પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચા, સેક્રેટરી વિવેક લાખાણી તથા પ્રોજેક્ટ ટીમના અંકિત દત્તાણી અને ધૈર્ય દતાણીએ જહેમત ઉઠાવી હતી. જેસીઆઈ પોરબંદર દ્વારા આ સ્પર્ધા માટે જરૂરી વ્યવસ્થા અને સહયોગ પૂરો પાડવા બદલ આર્ય કન્યા ગુરુકુલના આચાર્ય ડો. અનુપમ નાગર તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે યોજાયેલી ખેડૂત સભામાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ગુજરાતના કલાકારો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમણે અદાણી અને અંબાણી મુદ્દે સરકાર પર પ્રહાર કરતા આ ટિપ્પણી કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સભાનું આયોજન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ ઉભા કરવા છતાં ખેડૂતોને પૂરતું વળતર ન મળવા અથવા વળતર અંગે સ્પષ્ટતા ન થવાને કારણે ખેડૂતોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ આક્રોશને વાચા આપવા માટે આ સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, જયેશભાઈ પટેલ, મહેશભાઈ રાજકોટિયા અને લાલજીભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોને સંબોધતા સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. સભાને સંબોધતા લાલજીભાઈ દેસાઈએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શિક્ષણના વ્યાપારિકરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક ઈસ્ટ ઈન્ડિયા કંપની આવી હતી અને 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. હાલમાં તો ત્રણ-ત્રણ વેસ્ટ ઈન્ડિયા કંપનીઓ છે – ટાટા, અંબાણી અને અદાણી, જે બધા ગુજરાતી છે. તેમણે વધુમાં કલાકારોને નિશાન બનાવતા કહ્યું કે, ગુજરાતના કલાકારો હાલમાં 'અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી...' જેવા ગીતો ગાય છે. જેઓ ગુજરાતને લૂંટે છે તેમને ગુજરાતી કહીને ગુજરાતીઓનું નાક કાપશો નહીં. દેસાઈએ માગ કરી કે જો અદાણી અને અંબાણી ગુજરાતી હોય તો સ્કૂલથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ મફત કરવું જોઈએ. તેમણે ભુજમાં ભૂકંપ પછી લોકોના ટેક્સના પૈસાથી બનેલી હોસ્પિટલ પણ અદાણીએ લઈ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. લાલજીભાઈ દેસાઈની આ ટિપ્પણીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
રાજકોટ મનપાનું બજેટ ગઈકાલે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સોંપી દેવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફેરફારો સાથેનું બજેટ મંજુર કરવામાં આવનાર છે. ત્યારે હવે રાજકોટ જીલ્લા પંચાયતમાં પણ વર્તમાન ટર્મ પૂર્ણ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય નાણાકીય વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતોની ચૂંટણીઓ પાછળ ઠેલાવાના સંકેતો વચ્ચે શાસક પક્ષ દ્વારા આ ટર્મનું છેલ્લું બજેટ રજૂ કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સભ્યોની ગ્રાન્ટમાં વધારો થવાની શક્યતા છે. જાણવા મળતી વિગતો મુજબ, 20 ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં બજેટની દરખાસ્તો રજૂ કરી તેને મંજૂરી આપવામાં આવશે. બાદમાં 27 ફેબ્રુઆરીના રોજ સામાન્ય સભામાં આ બજેટને આખરી ઓપ આપી બહાલી આપવામાં આવશે. જોકે, શાસકો અને વહીવટી તંત્રની અનુકૂળતા મુજબ તારીખોમાં એક-બે દિવસનો ફેરફાર થઈ શકે છે, પરંતુ ફેબ્રુઆરીનાં અંત સુધીમાં બજેટ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી અને કારોબારી ચેરમેન પી.જી.કીયાડા દ્વારા જીલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશમોહન સાથે થયેલી બેઠકમાં બજેટ અંગે પ્રાથમિક ચર્ચાઓ પૂર્ણ કરવામાં આવી છે. જીલ્લા પંચાયતના બજેટમાં આ વર્ષે સ્વભંડોળની આવકમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. પંચાયત પાસે હાલ પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોવાથી દરેક સભ્યને પોતાના વિસ્તારના વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 10% નો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. વિભાગવાર ફાળવણીના આંકડાઓ સ્પષ્ટ થયા બાદ શાસક પક્ષના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે, જેમાં ખેતીવાડી, આરોગ્ય, બાંધકામ અને શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રો માટે બજેટમાં કેટલી જોગવાઈ કરવી તે નક્કી કરવામાં આવશે. નિયમ મુજબ, જીલ્લા પંચાયતનું બજેટ સૌ પ્રથમ કારોબારી સમિતિમાં રજૂ કરવામાં આવે છે. ત્યાં સભ્યો દ્વારા કરવામાં આવેલા સુધારા-વધારા અને ચર્ચાઓ બાદ તેને ભલામણ સાથે સામાન્ય સભામાં મોકલવામાં આવે છે. સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર થયા બાદ તેને અમલી બનાવવામાં આવે છે. જોકે, વર્તમાન સભ્યો માટે એક ચિંતાનો વિષય એ પણ છે કે નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલ મહિનામાં જ પંચાયતની મુદત પૂર્ણ થઈ રહી છે. આ સ્થિતિમાં, બજેટમાં ફાળવાયેલા રૂ. 10,00,000 કે તેનાથી વધુની રકમ વાપરવા માટે સભ્યોને પૂરતો સમય મળશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજકોટ જીલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ શાસકો અને તંત્ર વચ્ચે આયોજનબદ્ધ બેઠક યોજાશે જેમાં અંદાજપત્રના આંકડાઓને આખરી ઓપ આપવામાં આવશે. આ બજેટમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ જેવી કે સીસી રોડ, ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠાની યોજનાઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવે તેવી શક્યતા છે. જીલ્લા પંચાયતની આ ટર્મની આ છેલ્લી મોટી સભાઓ હોવાથી તેને યાદગાર બનાવવા માટે શાસક પક્ષ મક્કમ દેખાઈ રહ્યો છે.
વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં એક જેસીબીમાં સંખ્યા બંધ શ્રમિકોને બેસાડી પૂરપાટ ઝડપે જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો. હરણી પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે પોલીસ સ્ટેશનમાં આરોપીને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી અને ત્યારબાદ આરોપીએ કાન પકડીને માફી માગી હતી અને કહ્યું હતું કે, આ મારી ભૂલ હતી ફરીથી આવું ક્યારેય નહીં કરું. JCBના ‘સૂપડા’માં સાતથી આઠ લોકોને ઉભા રાખ્યા હતા વડોદરા શહેર અને હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ધરખમ વધારો થયો છે. ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા ચાલકોના પાપે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આજે પણ ક્યાંકને ક્યાંક ચાલકો , પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી જોવા મળી રહી છે. કેટલાક લોકો પોતાના અને બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. તેવા એક જોખમી સવારીનો વીડિયો આજે વાયરલ થયો હતો. વડોદરા શહેરના ખોડિયાર નગર ચાર રસ્તાથી દરજીપૂરા હાઈવે તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલા એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવી હતી. જેનો વીડિયો નજીકમાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસના હેડ કોસ્ટેબલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હરણી પોલીસે આરોપીમુમતાજ હકીમ મિયા આલમ (રહે. એરફોર્સ બ્રીજ પાસે, વડોદરા, મુળ રહે ગા મ કોદરકટ બનકટવા પૂર્વી ચંપારણ બિહાર)ની ધરપકડ કરીને બજે તપાસ શરૂ કરી છે. આટલા બધા શ્રમિકોને જેસીબીમાં બેસાડી પસાર થવા છતાં કોઈપણ ટ્રાફિક પોલીસ કર્મીની આની પર નજર ના પડી એ એક મોટો પ્રશ્ન છે. આ જેસીબીથી કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ ? અગાઉ પણ ઘણી વખત આવી જોખમી સવારીના વીડિયો વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે, જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ખાસ કરીને ભારદારી વાહનો બેફામ રીતે વાહનો હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકી છે. રોજે રોજ અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં અનેક પરિવારોના કુળદીપક બુઝાય છે. તેમ છતાં વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તે રીતે લોકોને વાહનોમાં બેસાડે છે. તેમ છતાં ટ્રાફિક પોલીસને કઈ દેખાતું નથી.
ગંભીર ગુનાના આરોપીઓને ‘ખાસ મહેમાનગતિ’ પીરસાઈ રહી હોવાનો આક્ષેપ ભાવનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે જેલમાં બંધ ગંભીર ગુનાના આરોપીઓને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ VVIP સુવિધાઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સામાજિક કાર્યકર નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયાએ તપાસની માંગ કરી છે, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બગદાણા પોલીસ સ્ટેશનના ગંભીર ગુનાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના અન્ય શખ્સોને જેલમાં સામાન્ય કેદીઓ કરતા અલગ અને વૈભવી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેલના નિયમ મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે, તે આ આરોપીઓ માટે ખાસ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે, સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, સાંજે 6 વાગ્યા પછી પણ આરોપીઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે અને અમુક કેસોમાં આરોપીઓને રાત્રે 8 વાગ્યા સુધી જેલની બહાર અવરજવર કરવાની છૂટ આપવામાં આવતી હોવાની પણ માહિતી મળી છે, નવનીતભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે, સુવિધાઓ માણવાનું નહીં. તેમણે માંગ કરી છે કે જો જેલના CCTV ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ અને જેલ અધિકારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ડીજીપી જેલ વિભાગ ગુજરાત રાજ્ય તથા ડીઆઈજી જેલ વિભાગ ભાવનગર રેન્જ તથા જેલ અધિક્ષક જિલ્લા જેલ ભાવનગરને પત્ર પાઠવી વિવિધ માંગણીઓની તપાસ કરવાની માંગ કરી છે.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કાર્યવાહી:ખંભાત પોલીસે 39 ગુમ મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા
ખંભાત સિટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસ દ્વારા ગુમ થયેલા અથવા ચોરાયેલા કુલ 39 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. ખંભાત સિટી પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓ અને મળેલી અરજીઓના આધારે આ મોબાઈલનું ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ગુમ થયેલા આ ફોન શોધી કાઢવામાં આવ્યા બાદ, પોલીસ મથકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોબાઈલના અસલ માલિકોને બોલાવી, કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને તેમના ફોન પરત સોંપવામાં આવ્યા. ગુમ થયેલા મોબાઈલ પરત મળતા નાગરિકોએ ખંભાત પોલીસની કામગીરીની સરાહના કરી હતી.
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહામુકાબલો થશે. આ મેચમાં સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સને સામસામે રમતી જોવા સ્ટેડિયમ હાઉસફુલ થશે કારણ કે, આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. વડોદરામાં WPLની ફાઈનલમાં મલાઈકા અરોરા અને તલવિંદરસિંગ પર્ફોર્મ કરશે. આજની મેચમાં 30 હજાર કરતા વધુ ક્રિકેટરસિકો ઉમટી પડવાના હોવાથી સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. બંને ટીમો ટાઈટલ જીતવા માટે તમામ પ્રયાસો કરશેવિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત નવી મુંબઈમાં 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાકીની 11 મેચ હવે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાઈ. આજે 5 ફેબ્રુઆરીએ છેલ્લી મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલેથી જ ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને દિલ્હી કેપિટલ્સની ટીમ ગુજરાત જાયન્ટ્સની ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચી છે ત્યારે બંને ટીમો ટાઈટલ જીતવા માટે તમામ પ્રયાસો કરશે. તમામ ટિકિટો વેચાતા સ્ટેડિયમ હાઉસફૂલ રહેશેક્રિકેટરોની સાથે સાથે બોલીવુડ પણ આજની મેચમાં રંગ જમાવશે. વડોદરામાં WPLની ફાઈનલની ક્લોઝિંગ સેરેમનીમાં મલાઈકા અરોરા અને તલવિંદરસિંગ પર્ફોર્મ કરશે. જેને લઈને પણ ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મેચની તમામ ટિકિટો ટપોટપ વેચાઈ ગઈ હતી. જેના કારણે ઘણા ક્રિકેટ રસિકોને મેચની ટિકિટ પણ મળી શકે નથી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને લોરેન બેલ જેવી ક્રિકેટર પર સૌ કોઈની નજર રહેશે. તો દિલ્હી કેપિટલમાં જેમીમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, સ્નેહા રાણાના પરફોર્મ્સ સૌ કોઈની નજર રહેશે. દિલ્હી કેપિટલ્સ પોતાનું પહેલું ટાઇટલ જીતવા માટે જોર લગાવશેવિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન ટાઇટલ જીત્યું હતું. બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટાઈટલ જીત્યું અને ત્રીજી સિઝનમાં ફરી મુંબઈ ઇન્ડિયન ટાઇટલ જીત્યું હતું. આ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચોથી સિઝનમાં ટાઈટલ જીતીને બે વખત ટાઇટલ પોતાના નામે પર કરવાનો પ્રયાસ કરશે. તો દિલ્હી કેપિટલ્સ પોતાનું પહેલું ટાઇટલ જીતવા માટે જોર લગાવશે. ઉચ્ચ અધિકારીઓ પણ ખડેપગે રહેશેવડોદરામાં યોજાનાર WPLની ફાઈનલ મેચોને લઈને કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રહેશે અને વડોદરા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ખડેપગે રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વુમન્સ પ્રીમિયર લીગની મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેના સારા આયોજન બાદ આ વર્ષે ફરી વડોદરાને વિમેન્સ પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરવાની તક મળી હતી. આ વર્ષે ફાઇનલ સહિતની 11 મેચ વડોદરામાં યોજાઈ છે.
આણંદમાં પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ત્રણ મહિનાથી ફરાર સાહિલ મલેકને પોલીસે દબોચ્યો
આણંદ ટાઉન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા-ફરતા આરોપી સાહિલ મલેકને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સાહિલભાઈ દાઉદભાઈ મલેક (રહે. યાદગાર સોસાયટી, રેલ્વે ફાટક નજીક અને હાલ પરીખ ભુવન, આણંદ) છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. આ દરમિયાન, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.પી.સી. તીર્થરાજસિંહ ભૂપતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી સાહિલ મલેક હાલ આણંદ વિસ્તારમાં જ છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સાહિલ મલેકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. વી.ડી. ઝાલા, પી.એસ.આઈ. એસ.બી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દિનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દીનુભાઈ સંગ્રામભાઈ અને તીર્થરાજસિંહ જોડાયા હતા.
પાટણના ઓવરબ્રિજ પર ઐતિહાસિક વારસાની ઝલક:દીવાલો પર રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવના શિલ્પો કંડારાશે
પાટણ શહેરના રેલવે ફાટક પર નવનિર્મિત ટી-આકારના ઓવરબ્રિજને આકર્ષક બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજની દીવાલો પર પાટણના ઐતિહાસિક વારસાને વોલ પેઈન્ટિંગ દ્વારા જીવંત કરવામાં આવી રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે બનાવાયેલા આ ઓવરબ્રિજને હવે કલાત્મક ઓપ આપવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા બ્રિજના સુશોભનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત, બ્રિજની દીવાલો પર પાટણની ઐતિહાસિક ઓળખ સમાન સ્થાપત્યોના ચિત્રો કંડારવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ શહેરના પ્રવેશદ્વાર સમાન બ્રિજને નયનરમ્ય બનાવશે. કલાકારો દ્વારા વિશ્વપ્રસિદ્ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ 'રાણીની વાવ' અને ઐતિહાસિક 'સહસ્ત્રલિંગ તળાવ' જેવા પૌરાણિક શિલ્પ સ્થાપત્યોની પ્રતિકૃતિઓ વોલ પેઈન્ટિંગ સ્વરૂપે તૈયાર કરવામાં આવી રહી છે. આ નવતર પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકો તેમજ અન્ય રાજ્યો અને શહેરોમાંથી આવતા પ્રવાસીઓને પાટણના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાની ઝલક પૂરી પાડવાનો છે. આ સજાવટને કારણે શહેરના મુખ્ય માર્ગોની સુંદરતામાં વધારો થશે. અત્યાધુનિક લાઇટિંગ અને કલાત્મક ચિત્રોને લીધે રાત્રિના સમયે પણ આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વહીવટી તંત્રનો આ પ્રોજેક્ટ પાટણની ઐતિહાસિક ધરોહરને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે જોડીને પ્રવાસન અને શહેરના સૌંદર્યીકરણને વેગ આપવાનો લક્ષ્યાંક ધરાવે છે.
પાટણ નગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શહેરના ચાણસ્મા હાઈવે પર રસ્તામાં નડતરરૂપ બનતા 15 વડ અને પીપળાના વૃક્ષોને કાપવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અન્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ પાલિકાનો પ્રથમ ટ્રી ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેક્ટ છે. ચાણસ્મા હાઈવે પર અંબાજી નેળીયાના નાકા પાસે સારથીનગર ચોકમાં કેનાલ તરફ પાંચ વર્ષ પહેલા રોપાયેલા આ વૃક્ષો હવે વિશાળ કદના બન્યા હતા. તેઓ રસ્તામાં અવરોધરૂપ બનતા હતા. તેમને કાપવાને બદલે જીવતદાન આપવાના ઉદ્દેશ્યથી નગરપાલિકાએ આ નિર્ણય લીધો. નગરસેવક જયેશ પટેલ અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના આયોજન હેઠળ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના બોટનિસ્ટ રોશન વિહોલની ટીમે આ કામગીરી હાથ ધરી. આ ટીમે અગાઉ 3500થી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક સ્થળાંતર કર્યું છે. બોટનિસ્ટ રોશન વિહોલે ટ્રી ટ્રાન્સપ્લાન્ટની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજાવતા જણાવ્યું કે, સ્થળાંતર પહેલા વૃક્ષોના પાંદડા અને ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. પાણીનો વ્યય અટકાવવા ફૂગનાશક અને બોડી એક્સનું મિશ્રણ લગાડાયું. ત્યારબાદ વૃક્ષના મૂળની ફરતે ગોળાકાર ખાડો કરી, મુખ્ય પોષક મૂળિયાં સમેત હાઈડ્રા મશીનથી વૃક્ષને બહાર કાઢવામાં આવ્યું. છાલ કે ડાળી પરના ઘસરકાની આડઅસર રોકવા મોરથુથુના દ્રાવણનો પાટો બાંધવામાં આવ્યો. નવા સ્થળે ખાડો કરી તેમાં જંતુનાશક દવા, ગ્રોથ પ્રમોટર અને વર્મી કમ્પોસ્ટ ખાતરનું મિશ્રણ ઉમેરી વૃક્ષનું પુનઃ સ્થાપન કરાયું છે. આ પદ્ધતિથી રોપાયેલા વૃક્ષો એક મહિનામાં ફરીથી પલ્લવિત થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, પાટણમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે. તેની સફળતા બાદ આગામી સમયમાં અન્ય સ્થળોએ પણ આ પદ્ધતિનો અમલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે ₹30,000નો ખર્ચ થવાની શક્યતા છે. વૃક્ષોના સ્થળાંતર બાદ ખાલી થયેલી જગ્યા પર ભવિષ્યમાં સિનિયર સિટીઝન પાર્ક અથવા બગીચો બનાવવાનું પાલિકા દ્વારા આયોજન છે.
પેટલાદમાં વરલી મટકાનો અડ્ડો ઝડપાયો:આણંદ LCBએ 5 શખ્સોને રૂ. 21,550 મુદ્દામાલ સાથે દબોચ્યા
આણંદ જિલ્લામાં જુગારની બદીને નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચના બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા વરલી મટકાના આંકડાના જુગાર પર દરોડો પાડીને પોલીસે 5 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ખુશ શરદકુમારને સચોટ બાતમી મળી હતી કે પેટલાદના ખતીફવાડા સામે આવેલા એક જૂના મકાન પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આણંદ LCBની રેઇડ દરમિયાન પેટલાદ ટાઉન વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં પઠાણ વાડાનો આદિલખાન મોહતરમખાન પઠાણ, કાછીયાવાડનો ઇરફાનુદ્દીન નાજીમુદ્દીન કાજી, ઝંડાબજારનો રફીકઉદ્દીન શજાઉદ્દીન શેખ, ચબુતરી બજારનો ઇરફાનુદ્દીન મૈયુદ્દીન શેખ અને ગોલવાડ વિસ્તારનો વિરલકુમાર અરવિંદભાઈ રાણાનો સમાવેશ થાય છે. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારનો અન્ય સામાન મળી કુલ રૂ. 21,550/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આંકડા લખવાની સ્લીપ બુક અને પેન પણ જપ્ત કરવામાં આવી છે. જ્યારે બોરસદનો બહેતુલ્લાખાન પઠાણ નામનો એક આરોપી હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પેટલાદ ટાઉન પોલીસ મથકે જુગાર ધારાની કલમ 12(અ) મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ, પી.એસ.આઈ. આઈ.જે. રાણા તથા એ.એસ.આઈ. દિલીપભાઈ, એચ.સી. યશપાલસિંહ અને પી.સી. ખુશ તથા તૌસીફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
વલસાડમાં બાળકે 1 રૂપિયાનો સિક્કો ગળી લીધો:સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરી જીવ બચાવ્યો
વલસાડના ગુંદલાવ ખાતે રમત રમતમાં એક બાળકે એક રૂપિયાનો સિક્કો ગળી લીધો હતો. સિક્કો અન્નનળીમાં ફસાઈ જતાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક સફળ ઓપરેશન કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંદલાવના સાઈનગર વિસ્તારમાં રહેતા શિવલાલ મહતોનો પુત્ર બુધવારે સાંજે ઘરે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક હાથમાં આવેલો સિક્કો મોઢામાં નાખી દીધો અને ગળી ગયો. સિક્કો ગળી જતાં બાળકને ખાવા-પીવામાં અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી. પરિવારજનોએ બાળકને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સિવિલ હોસ્પિટલના સીએમઓ ડૉ. કરણ ચંદેલના જણાવ્યા મુજબ, બાળકને બુધવારે દાખલ કરતા જ તેને ENT વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. એક્સ-રે તપાસમાં સિક્કો બાળકની અન્નનળીમાં ફસાયેલો હોવાનું સ્પષ્ટ થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. સફળતાપૂર્વક સિક્કાને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ બાળકની તબિયત સ્થિર છે અને તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. ડૉ. કરણ ચંદેલે વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે, નાના બાળકોની આસપાસ સિક્કા કે અન્ય નાની વસ્તુઓ ખુલ્લી ન રાખવી જોઈએ. જો આવી કોઈ ઘટના બને તો સમય બગાડ્યા વગર નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. બાળકનો જીવ બચાવવા બદલ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાયદા બજારમાં 'ભૂકંપ': ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ
Silver and Gold Price Crash : દેખીતી રીતે આજે સોના અને ચાંદીના બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં 9% જેવો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ચાંદીમાં મોટું ગાબડું MCX પર ચાંદીના ભાવમાં ₹24,196નો ઘટાડો થતા ભાવ ₹2,44,654 પર પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
પોરબંદરમાં DYSP ઓફિસ અને કલેક્ટર કચેરી નજીક યુવા પત્રકાર ઓમ જોશી પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ખનીજ ચોરીના અહેવાલો લખવા બદલ તેમને પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં પત્રકારને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સાંજે 5:30 થી 6:00 વાગ્યાના અરસામાં બની હતી. પત્રકાર ઓમ જોશી કલેક્ટર કચેરીથી માહિતી મેળવી પરત ફરી રહ્યા હતા ત્યારે DYSP (ગ્રામ્ય) ઓફિસની પાછળના ભાગે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. હુમલાખોરો લોખંડના પાઈપ અને ધોકા જેવા હથિયારોથી સજ્જ હતા. ઓમ જોશીએ જણાવ્યું કે, હુમલાખોરોએ તેમને ખનીજ ચોરી વિશે અહેવાલો લખવા બદલ નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ કહ્યું કે, તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અહેવાલો લખે છે, આજે તો તને જીવતો મૂકવો જ નથી. ત્યાર બાદ તેમના પર પાઈપ વડે હુમલો કર્યો હતો. જીવ બચાવવા પત્રકાર કલેક્ટર કચેરી તરફ દોડ્યા હતા, પરંતુ તે દરમિયાન તેમના ડાબા હાથ પર પાઈપનો જોરદાર ફટકો વાગતાં ગંભીર ઈજા થઈ હતી. હુમલા દરમિયાન તેમની દોઢ તોલાની સોનાની વીંટી પણ ક્યાંક પડી ગઈ હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઘટના બાદ પત્રકારે તાત્કાલિક 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. હાલ તેમને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્રકાર ઓમ જોશીએ આક્ષેપ કર્યો છે કે, આ હુમલા પાછળ કોઈ મોટી ગેંગ અથવા ખનીજ માફિયાઓનું કાવતરું હોઈ શકે છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્ય અક્ષય ભરતભાઈ નાયકાને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે તપાસમાં અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ ન. 2ના સભ્ય અક્ષય નાયકા દ્વારા પોતાના સગા ભાઈના નામે પંચાયતના કામોના બિલો મૂકી પદનો દુરુપયોગ કરાયો હોવાનું સાબિત થયું હતું. આ ઘટનાથી અતુલ ગ્રામ પંચાયતના રાજકારણમાં ફરી ખળભળાટ મચ્યો છે. અગાઉ અતુલ ગ્રામ પંચાયતના સરપંચ અને ત્યારબાદ ડેપ્યુટી સરપંચને પણ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. અને તાજેતરમાં અતુલના વોર્ડ ન. 2ના સભ્ય અક્ષય નાયકાને પર પદના દુરુપયોગનો આરોપ હતો, જેની તપાસ બાદ તેમને TDO દ્વારા તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. આ મામલે પુનીત પી. સોનીએ ગત વર્ષે મે મહિનામાં TDO અને DDOને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વિસ્તરણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સભ્ય દ્વારા રજૂ કરાયેલું સોગંદનામું ખોટું હતું, કારણ કે સ્થળ તપાસમાં સભ્ય, તેમની માતા અને ભાઈ એક જ ઘરમાં રહેતા હોવાનું સાબિત થયું હતું. તપાસમાં એ પણ સ્પષ્ટ થયું કે સભ્ય અક્ષય નાયકા પોતાના ભાઈના નામે પંચાયતમાં બિલો મૂક્યા હતા. ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-30(ઝ) મુજબ આ કૃત્ય ગેરલાયકાત ગણાય છે. આથી, TDO રાજેશ ધનગરે કલમ-32(1) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને અક્ષય નાયકાને પદ પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે.
મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સાર – સકારાત્મકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બી.કે. જયંતિ દીદીએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે અને વ્યક્તિ પોતાનામાં પરિવર્તન લાવીને વિશ્વમાં પરિવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે. આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જયંતિ દીદીની ઉપસ્થિતિમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) અને દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીવાસીઓને સંબોધતા બી.કે. જયંતિ દીદીએ કહ્યું કે, આપણે સૌ પરમાત્માના સંતાનો છીએ અને બધામાં સકારાત્મક ઊર્જા રહેલી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આપણે માત્ર આપણામાં જ નહીં, પરંતુ આપણામાંથી બીજાને પણ સકારાત્મક ઊર્જા મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં 48 વર્ષ સુધી પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું હતું. તેમનું અવસાન તા. 6/2/2025 ના રોજ થયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં આ કાર્યક્રમ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.
અમદાવાદમાં સાણંદ પોલીસે ગોરસ સીમ નજીક આવેલા 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ'માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 80 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. આ મહેફિલ 'AV'ની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતોમળતી માહિતી અનુસાર વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 80 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. આ રેઈડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી ચાલુ રાખી છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ઝડપી બનાવી છે. અટકાયતમાં લેવાયેલા તમામ યુવાનોના મેડિકલ ટેસ્ટ ચાલુ આ ઘટના સાણંદ વિસ્તારમાં પ્રાઈવેટ પાર્ટીઓ અને દારૂ-હુક્કાના વધતા કેસો તરફ ધ્યાન દોરે છે. પોલીસે આવા કાર્યક્રમો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સખત કાર્યવાહી કરવાની વાત કરી છે. હાલ તમામ અટકાયતમાં લેવાયેલા યુવાનોના મેડિકલ ટેસ્ટ ચાલુ છે અને તેમની ઓળખ અને પૃષ્ઠભૂમિની તપાસ પણ ચાલી રહી છે.
સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા
Ahmedabad Sanand News : અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેઇડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પોલીસ આ રેઇડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 80 જેટલાં લોકોની ધરપકડ
સિદ્ધિ:અમરગઢ ડેન્ટલ કોલેજના હંસા ભોજને શ્રેષ્ઠ લાઈબ્રેરીયન એવોર્ડ
અમરગઢ(જીથરી) સ્થિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ લાઇબ્રેરિયન હંસા ભોજને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ અને પ્રતિબદ્ધતા બદલ HSLACON–2026 બેસ્ટ લાઇબ્રેરીયન (ડેન્ટલ કોલેજ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માધવ યુનિવર્સિટી, અબુ રોડ–પિંડવારા (રાજસ્થાન) ખાતે યોજાયેલા HSLACON–2026 નૅશનલ કોન્ફરન્સ દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદનું આયોજન હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસોસિએશન, ગુજરાત દ્વારા “ડિજિટલાઇઝેશન અને લાઇબ્રેરીઓનું પુનઃઆકારણ: વિકાસશીલ ભારત 2047 માટેના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન” વિષય હેઠળ કરવામાં આવ્યું હતું. હંસા ભોજને ડેન્ટલ શિક્ષણ ક્ષેત્રમાં લાઇબ્રેરી મેનેજમેન્ટ, ડિજિટલ સેવાઓ અને શૈક્ષણિક વિકાસ માટે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક કુશળતાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતા સંસ્થા તેમજ સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ઊભી થઈ છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:પાલિતાણામાં બોલેરો ચાલકે વૃધ્ધ મહિલાને અડફેટે લેતા મોત નિપજ્યું
પાલિતાણા ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા ખુલ્લા મેદાનમાં બેસેલા હતા ત્યારે બોલેરો પીકઅપ વાહનના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા, બોલેરો પીકઅપ વાહન મેદાનમાં બેસેલા વૃદ્ધ મહિલા સાથે બોલેરોનો અક્સમાત થયો હતો. જે બાદ વૃદ્ધ મહિલા ઉપર બોલેરોનું ટાયર ફરી વળતા વૃદ્ધ મહિલાને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જેમાં બોલેરોના ચાલક વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલિતાણાના વેલનાથ વાડી તળાવ વિસ્તારમાં રહેતા અને મૂર્તિકામ કરતા વિજયબાઇ બાબુભાઇ ભાટીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પંચ્યાશી વર્ષીય દાદી ગોદીબેન જીવાભાઇ ભાટી તેમની સાથે રહેતા હતા. તેમના દાદી ગોદીબેન આજે મંડપ સર્વિસના ગોડાઉન પાસે આવેલ ખુલ્લા મેદાનમાં બેઠા હતા જે દરમિયાન બોલેરો પીકઅપ વાહન નં. GJ 05 BV 5619 માંથી મંડપનો સામાન ઉતારી રહ્યા હતા અને બાદમાં બોલેરોના ચાલકે પીકઅપ શરૂ કરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દિધો હતો અને ચાલકે ખુલ્લા મેદાનમાં બેસેલે ગોદીબેન ઉપર પીકઅપનો અકસ્માત કરતા, ગોદીબેન ઉપર બોલેરો પીકઅપનું ટાયર ફરી વળતાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પંચ્યાશી વર્ષીય ગોદીબેનનું અકસ્માતે મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
વીજચોરી ઝડપાઇ:પાલિતાણા ડિવિઝનમાંથી રૂ.31 લાખની વીજચોરી ઝડપાઇ,વિજચોરો તંત્રની ઝપટે
PGVCL ભાવનગર સર્કલમાં GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના પાલિતાણા ડિવિઝન નીચે આવતા તળાજા અને પાલિતાણા તાલુકાના ત્રાપજ, તળાજા-2, પીથલપુર અને ઘોડીઢાળ સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.31 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. PGVCL પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટની 12, સ્થાનિકની 24 અને GUVNLની 17 ટીમો મળી કુલ 53 ટીમોના કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચેકિંગની કાર્યવાહીમાં 387 રહેણાકી અને 9 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 396 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 126 રહેણાકી અને 3 ખેતીવાડી શ્રેણીના કુલ 129 વીજ જોડાણમાંથી ગ્રાહકોને વીજચોરી પકડી પાડવામાં આવ્યા હતા. પાલિતાણા ડિવિઝનમાં વીજ ચેકિંગના દરોડામાં તળાજા અને પાલિતાણા તાલુકાના તળાજા શહેર સહિત સોસીયા, રાજપરા, સાંખડાસર-2, સરતાનપર, નીચડી, ખંઢેરા, કંજરડા અને હાથસણી ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 12 એસ.આર.પી. જવાન, 20 GUVNL પોલીસ અને 12 લોકલ પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો. તંત્રના ચેકીંગથી વિજચોરી કરનારાઓમાંમાં ભારે ફફડાટ ફેલાયો છે.
રેલવે સુવિધાઓમાં થશે વધારો:બજેટમાં ગુજરાત રેલવેને મોટી રકમ ફાળવાઇ, સુવિધાઓ વધશે : ભટ્ટ
ગુજરાતની રેલવે સુવિધાની વિવિધ યોજના માટે કેન્દ્રીય જનરલ બજેટ 2026-27માં 17,366 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમની ફાળવણી થકી ધોલેરા, બોટાદની રેલવે સુવિધાઓને જડપી ન્યાય મળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી વંદે માતરમ સેવા સંઘના પ્રમુખ પૂર્વ કોર્પોરેટર શ્રીકિશોર ભટ્ટ જણાવ્યું હતુ કે, ભાવનગર-અધેળાઇ-ધોલેરા-અમદાવાદ રેલવે લાઇન માટે કામગીરી હવે આગળ ધપશે. અમદાવાદથી ધોલેરાની રેલવે લાઇન માટે જમીન સંપાદનનું કામ પણ શરૂ થયુ છે અને તેના માટે બે અધિકારીની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત કોસ્ટલ રેલવે લાઇન ડેવલપ કરવાનું સરકારનું સ્વપ્ન છે, તેમાં મહુવા-તળાજા-અલંગ-ભાવનગરની રેલવે લાઇન પુન: શરૂ કરી શકાય તેના માટે કાર્યવાહી આગળ ધપવાના એંધાણ છે. ઢસા-જેતલસર-બોટાદ ગેજ કન્વર્ઝનની કામગીરી સંપન્ન થયા બાદ ભાવનગર રેલવે ડિવિઝનને ટ્રેનોને વેગ મળ્યો છે. અમરેલી-ખીજડીયા રેલવે લાઇનનું કામ ગતિમાં છે. ઉપરાંત ગઢડા-નિંગાળાની જૂની લાઇન પુન: શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ પેસેન્જર એસો. દ્વારા કરવામાં આવી છે. બજેટમાં ગુજરાતના રેલવે માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવતા, ભાવનગર, બોટાદ જીલ્લા રેલ્વે સુવિધાથી વંચિત તાલુકાઓને ભાવનગર, તળાજા, ઘોઘા, વલભીપુર, ગારીયાધાર, જેસર પણ ક્રમે ક્રમે રેલવે લાઇન સાથે જોડાય તેવી આશા મજબૂત બની રહી છે.
નિમણૂક:જીપીસીબીના નવા પ્રાદેશિક અધિકારી તરીકે મનીષ બારડ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા રાજ્યમાં મોટાભાગના પ્રાદેશિક અધિકારીની બદલી કરવામાં આવી છે. ભાવનગર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એન.એમ.કાવરને ગાંધીનગર હેડ ઓફિસ ખાતે બદલી આપવામાં આવી છે, જ્યારે તેઓના સ્થાને ભાવનગર ખાતે પ્રાદેશિક અધિકારી તરીકે સ્ટેટ લેવલ એન્વાયરોમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીના પર્યાવરણ ઇજનેર મનીષ જી. બારડની બદલી કરવામાં આવી છે.
પઠાણી ઉઘરાણી બદલ કાર્યવાહી:વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાના આચાર્યની અટક
સુરતના બિલ્ડરે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના આચાર્ય સહિત ચાર વ્યાજખોર શખ્સો વિરૂદ્ધ રૂા. 45.70 લાખની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તેના બદલામાં પાંચ વીઘા જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી, જમીન દોઢેક કરોડ રૂપિયામાં ગેરકાયેદસર રીતે વેચાણ કરી નાંખી હતી. ફરિયાદી પાસે વધુ અઢી લાખ રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા પી.એસ.આઇ. હોવાની ખોટી ઓળખ આપી,માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદીએ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના આચાર્ય સહિત ચાર શખ્સો વિરૂદ્ધ વ્યાજ વટાવ સહિતની ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર પૈકી ત્રણ ભાઇઓની અટક કરી હાલ પૂછપરછ શરૂ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રજનીભાઇ લાલજીભાઇ જાસોલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને પૈસાની જરૂર પડતાં તેમને રઘુભાઇ સોંડાભાઇ રબારીના સંબંધી ભુપતભાઇ કરમટીયા, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોકુળભાઇ કરમટીયા, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના આચાર્ય વાઘજીભાઇ કરમટીયા પાસેથી રૂા. 45.70 લાખ વ્યાજે લીધા હતા. અને તેના બદલામાં ચારેય આરોપીઓએ ફરિયાદીની અધેવાડા પાસે આવેલી પાંચ વીઘા જમીનના દસ્તાવેજ કરાવી લીધો હતો. અને ફરિયાદી પાસેથી દસ લાખ રૂપિયા વસુલ કરી, જમીનનો રીટર્ન દસ્તાવેજ કરી આપવાનો વાયદો આપેલ હતો. અને બાદમાં આ જમીન ગેરકાયદેસર રીતે દોઢેક કરોડમાં વેચાણ કરી નાંખેલ હતું. અને ફરિયાદીએ સમયસર વ્યાજ ચુકવ્યું હોવા છતાં પણ માનસિક ત્રાસ આપતા હતા. અને ફરિયાદીને તેમની જમીન વેચાણ થયાનું જણાતા આરોપીઓ પાસે રૂપિયાની ફરિયાદીએ માંગણી કરી હતી. તમામ આરોપીઓએ ફરિયાદી પાસેથી સામા અઢી લાખ રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપવું પડશે તેમ કહી, પચ્ચીસ હજાર રૂપિયા પડાવી, વધુ વ્યાજની ઉઘરાણી કરી, જમીન પરત ન કરી, ત્રાસ ગુજારતા રજનીભાઇએ ભરતનગર પોલીસ મથકમાં ભુપત કરમટીયા, ગોકુળ કરમટીયા, વાઘજી કરમટીયા અને રઘુ સોંડાભાઇ રબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક આરોપીએ પોલીસમાંથી અગાઉ રાજીનામું આપેલભરતનગર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોકુળભાઇ કરમટીયા અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેઓ એ.એસ.આઇ. તરીકે કામગીરી કરતા હતા પરંતુ આ આરોપીએ પોલીસમાંથી રાજીનામું આપેલ હતું. પરંતુ આરોપી ગોકુળ કરમટીયાએ ફરિયાદી રજનીભાઇને અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપી, ત્રાસ ગુજાર્યો હતો.
વિદેશી દારૂ ઝડપાયો:સિહોરના ડુંગરાઓમાંથી મંગાવેલ 86.57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. બુટલેગરો દ્વારા તમામ ચેક પોસ્ટ પસાર કરાવીને શહેર અને જિલ્લામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બિયર ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર પેરોલ ફર્લોને સિહોરના મોટા સુરકાના ડુંગરાની ગાળીમાં મસમોટા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ તેમજ હેરાફેરી મોટા ગજાના બુટલેગરો દ્વારા કરાતું હોવાની બાતમી આધારે દરોડા પાડતા પેરોલ ફર્લો પોલીસની નજર સામે જ બુટલેગરો ફરાર થયા હતા અને પોલીસે રૂા. 86,57,390નો વિદેશ દારૂ ઝડપી લઇ, બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે. ત્યારે એક જ સપ્તાહમાં પેરોલ ફર્લો દ્વારા ત્રીજી મોટી રેડ કરવામાં આવી હતી પરંતુ બે દરોડામાં તમામ બુટલેગરો ફરાર થવામાં સફળ રહ્યા હતા. ભાવનગર શહેર તેમજ જિલ્લામાં સ્થાનિક પોલીસના અધિકારીઓની રહેમરાહે જાહેરમાં વિદેશી દારૂ તેમજ બિયરનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે ભાવનગર પેરોલ ફર્લો દ્વારા એક સપ્તાહમાં ત્રણ મોટા દરોડા પાડી, બુટલેગરોના લાખો રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી લઇ, સ્થાનિક પોલીસની કામગીરી ઉપર તમાચો માર્યો છે. ભાવનગર જિલ્લાના સિહોર નજીક મોટા સુરકા ગામની આસપાસ ડુંગરાની ગાળીમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કુકડ, ભાવેશ જેઠા ચાવડા, ઘનશ્યામ ઉર્ફે જીડી ભરવાડ, મુન્નો ઉર્ફે ઢેકાળો કોળી તેમજ વરૂણ બારૈયા નામના બુટલેગરો દારૂનું કટીંગ કરી, હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યો હતો. જે સમયે એક બોલેરો પીકઅપ વાહન ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો અને પોલીસે બાતમી સ્થળે હાજર જુદી જુદી કંપનીની વિદેશી દારૂની બોટલો નંગ 14,593, કિ.રૂા. 86,57,390નો મુદ્દામાલ ઝડપી, ફરાર થયેલા પાંચેય બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે.
મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયું:અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ
માનવ સેવા અને જીવદયા સત્કાર્યો માટે સદાય તત્પર રહેતા ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકો દ્વારા પ્રેરણાદાતા અને અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની ૩૫ મી દીક્ષા જયંતી અવસરે ભાવનગરના સાધારણ પરિવાર ના વ્યક્તિ ઓ માટે વિશેષ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ 8 મી ફેબ્રુઆરી રવિવારે સવારે 10 થી 1 અંજાનિયા વિંગ્સ સત્યનારાયણ રોડ A to z દુકાન ની સામે ભાવનગર રાખવામાં આવેલ છે. આ કેમ્પ માં ભાવનગર ના નિષ્ણાત ડોક્ટર્સ નિ: સ્વાર્થ ભાવે સેવા અર્પણ કરશે . તેઓ વિવિધ પ્રકારના આંખના, દાતના, ચામડીના, માનસિક રોગોના, હાડકાના, આદિ દર્દને તપાસી ચેક કરી યથા યોગ્ય માર્ગદર્શન આપશે. જરૂરી દવાઓ લખી આપશે. અને યથા યોગ્ય સહાય પણ આપશે. . આ ફ્રી મેડિકલ કેમ્પ નો લાભ લેનાર દર્દીઓએ ફરજિયાત આ નંબર - 9136442493 પર પોતાનું નામ એડ્રેસ અને દર્દી નું નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે .
વોકેથોનનુ આયોજન કરાયું:સ્પર્શ કેર, બિમ્સ હોસ્પિટલ દ્વારા વોકેથોનનુ આયોજન કરાયુ
વર્લ્ડ કેન્સર ડે ના અનુસંધાને કેન્સર જનજાગૃતિ માટે 1 ફેબ્રુઆરીના સ્પર્શ કેન્સર કેર અને ભાવનગરની બેસ્ટ બિમ્સ હોસ્પિટલ દ્વારા વોકેથોન નું આયોજન કરવામાં આવેલ. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ કેન્સર રોગને અટકાવવા જનજાગૃતિ ફેલાવાનો તેમજ કેન્સર રોગમાં પીડાતા દર્દી પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને કેવી રીતે બહાર લાવવા તે મુખ્ય હતો. કેન્સર સામે લડવા અને દર્દી દેવો ભવઃ ના મંત્ર સાથે સ્પર્શ કેન્સર કેર અને બિમ્સ હોસ્પિટલ ભાવનગર દ્વારા જનજાગૃતિ વોકેથોન નું આયોજન થયેલ. જેમાં વધુને વધુ યુવાનો તથા વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરની ખ્યાતનામ સ્કૂલો રેંજર ટીમના ૫૦૦થી વધારે સ્કાઉટ ગાઈડ જેઓ જિલ્લા મંત્રી અજયભાઇ ભટ્ટ ના માર્ગદર્શનમાં જોડાયા હતા અને કેન્સર માટેની જનજાગૃતિ ફેલાવવામાં સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત ભાવનગરની બેસ્ટ બિમ્સ હોસ્પિટલ ના મેડિકલ ડિરેક્ટર ડો. સ્નેહલ રવિસાહેબ તથા મોઢા અને ગાળાના કેન્સરના સર્જન ડો. સિદ્ધાર્થ વ્યાસ દ્વારા લોકોને માર્ગદર્શન અપાયુ હતું. સમગ્ર કાર્યક્રમ ડો. જ્યોતિકાબેન જોશીના માર્ગદર્શનમાં સ્પર્શ કેન્સર કેર દ્વારા અને બિમ્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો
લ્યો બોલો!:ચાર્જ સંભાળ્યાનો મહિનો પૂરો થાય તે પહેલા જ શાસનાધિકારીએ બદલી માંગી
ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે ચાર્જ સંભાળ્યાને હજુ એક મહિનો પણ પૂરો ન થયો ત્યાં નવનિયુક્ત શાસનાધિકારીએ શિક્ષણનું જ્ઞાન છે પરંતુ વહીવટી જ્ઞાન નહિ હોવાનું કારણ ધરી બદલીની માગણી પણ કરી દીધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની 69 શાળામાં 30,530 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના મુખ્ય વહીવટી અધિકારી તરીકે શાસનાધિકારી સક્ષમ હોવા જરૂરી છે. ઓક્ટોબર-2022 થી ડિસેમ્બર 2025 સુધી શાસનાધિકારી તરીકે મુંજલ બડમલીયાએ ફરજ બજાવી હતી. સાથો સાથ ચેરમેન તરીકે નિકુંજ મહેતા ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ગત 26મી ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ના રાજ્યના 200 મુખ્ય શિક્ષકો અને અધિકારીની થયેલી બદલીમાં ભાવનગર શિક્ષણ સમિતિના શાસનાધિકારીની પણ બદલી થઈ હતી અને સીદસર પીએમશ્રી મોડલ સ્કૂલના મુખ્ય શિક્ષક સમીરભાઈ જાનીની ભાવનગર શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે નિમણૂક થઈ હતી. અને તેઓ 30મી ડિસેમ્બરે હાજર થયા હતા. પરંતુ બાળકોને ભણાવતા ભણાવતા સીધા જ સમગ્ર શહેરની શાળાઓનું સંચાલન અને વહીવટ કરવામાં શરૂઆતથી જ શાસનાધિકારી સમીર જાનીને મુશ્કેલી પડતી હતી. શરૂઆતમાં જ શિક્ષણ સમિતિ નું બજેટ આવતા સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચામાં પણ પદાધિકારીઓના પ્રત્યુતર આપવામાં અઘરૂ થયું હતું. જેથી 27 મી જાન્યુઆરીથી રજા પર ચાલ્યા ગયા છે અને. શિક્ષણ વિભાગમાં પણ લેખિતમાં પત્ર લખી વહીવટી કાર્ય કુશળતા નહીં હોવાના કારણસર મુખ્ય શિક્ષક તરીકે અન્ય જવાબદારી સંભાળવા તૈયારી બતાવી બદલીની માગણી કરી છે. સાથોસાથ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા દ્વારા પણ લેખિતમાં શાસનાધિકારીની જાહેર હિતમાં બદલી કરવા અને સક્ષમ અધિકારીની માગણી કરી છે. આમ શાસનાધિકારીને ચાર્જ સંભાળ્યા નો હજુ મહિનો પણ પૂરો થયો નથી ત્યાં બદલીની માગણી કરતા શિક્ષણ વર્તુળમાં પણ ચર્ચા જાગી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં આગામી બજેટ સાધારણ સભામાં મંજુરી માટે આવે તે પહેલા જ શાસનાધિકારીએ બદલીની માંગણી કરી મુખ્ય શિક્ષક તરીકે ફરજ સોંપવા જણાવ્યું છે.
લોક માંગ:ખોડિયાર મંદિરના ટ્રાફીકને ધ્યાનમાં રાખી ડબલડેકરની સુવિધાની માંગણી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સિટીબસની સેવા બંધ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સિટીબસ સેવા ફરી શરૂ થઈ રહી છે ત્યારે ભાવનગરથી ખોડિયાર મંદિર સુધી જવાના ટ્રાફિકને ધ્યાનમાં રાખી અગાઉની માફક ડબલ ડેકર બસ સેવા શરૂ કરવાની માંગણી થયેલ છે. ભાવનગર મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા વારંવારની રજુઆત છતા છેલ્લા કેટલાક વર્ષોથી સિટીબસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સિટીબસ સેવા ચાલુ રહે તે માટે કોન્ટ્રાકટર દ્વારા અન્ય શહેરોની માફક સરકારની કિલોમીટર દીઠ સબસીડીની માંગણી કરવામાં આવી હતી. પણ આ સબસીડીમાં અન્ય મહાનગરોની માફક કોર્પોરેશનને પણ ફાળો આપવાનો થતો હતો જે નહી અપાતા કોન્ટ્રાકટરે સિટી બસ સેવા બંધ કરી દીધી હતી. સમગ્ર દેશમાં ઈ-બસ સેવા માટે કેન્દ્ર સરકારે યોજના બનાવતા એ યોજનાના ભાગરૂપે ભાવનગરમાં પણ 40 જેટલી ઈ-બસ આવી ગઈ છે અને બીજી 60 જેટલી ઈ-બસ આવવાની બાકી છે. ખોડિયાર મંદિર જવા માટે શહેરના અને આજુબાજુના ગામોના લોકોનો પણ ખુબ ધસારો હોય છે. ભુતકાળમાં પણ શનિ-રવિમાં ખોડિયાર મંદિર રૂટ પર ડબલડેકર બસ દોડાવવામાં આવતી હતી અને તે ભરચક રહેતી હતી ત્યારે આ રૂટ પરની ઈ-બસ પણ ડબલડેકર મેળવવામાં આવે તો ખોડિયાર મંદિરના દર્શનાર્થીઓને સુવિધારૂપ બને તેમ છે. આ અંગે કોર્પોરેશનના તંત્રવાહકોનો સંપર્ક સાધતા જે 100 નવી ઈ-બસ આવવાની છે તેમાં ડબલ ડેકર બસ નથી અને ડબલડેકર બસ માટે ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલ કોઈ માંગણી કરવામાં પણ આવી નથી તેમ જણાવાયું છે. ભરતનગર રૂટ પર પણ ડબલ ડેકર બસ જરૂરીખોડિયાર મંદિરનો રૂટ સિટી બહારનો હોવાથી આ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવામાં આવે તો ઉંચાઈની કોઈ તકલીફ પડે તેમ નથી. એ જ રીતે ભરતનગર રૂટ ઉપર પણ ટ્રાફિક વધારે રહેતો હોવાથી ભરતનગર રૂટને પણ ડબલ ડેકર બસ ફાળવવામાં આવે તો ઓછી બસ દોડાવવાની જરૂર પડે પરિણામે પર્યાવરણનો જ હેતુ છે તે પણ જળવાઈ રહે.
રોગચાળો વકર્યો:કૃષ્ણનગરમાં નળ-ગટરનું પાણી ભેગુ થઈ જતા ઝાડા - ઉલ્ટીનો વ્યાપક રોગચાળો
કૃષ્ણનગર વિસ્તારમાં નળ સાથે ગટરનું પાણી ભળી જતા ઝાડા - ઉલ્ટીનો વ્યાપક રોગચાળો શરૂ થયો છે. આ વીસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીમાં દુર્ગંધની ફરિયાદો હોવા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા ન હતા. કૃષ્ણનગર વિસ્તારમાં બહુચરમાતાના મંદિરથી દાણીબાઈ કન્યા છાત્રાલય, જૈન દેરાસરની પાછળનો વીસ્તાર, મહિલા કોલેજ સર્કલ વીસ્તારમાં નળ - ગટરનું પાણી ભેગુ થઈ ગયુ હોવાથી ઝાડા, ઉલ્ટીનો વ્યાપક વાયરો શરૂ થયો છે. લોકોને ફરજીયાત પીવા માટે બહારથી પાણી મંગાવવુ પડે છે. આ વીસ્તારના રહીસોના જણાવ્યા મુજબ આ અંગે વારંવાર લેખીત - મૌખીક રજુઆતો છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાતા નથી. પરિણામો ઈંદોર જેવી ઘટના બનવાની પણ ભીતી છે. કોર્પોરેશનના તંત્રવાહકો દ્વારા રસ્તાના કામોને કારણે પાઈપલાઈન તુટતા આવુ થવાની શક્યતા દર્શાવાઈ રહી છે પણ યુદ્ધના ધોરણે જો આ ક્ષતિ દૂર કરવામાં ન આવે તો ભાવનગરમાં મોટી દુર્ઘટના થયાની પણ સંભાવના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઈંદોર અને અમદાવાદમાં તાજેતરમાં નળ-ગટરના દુષિત પાણીને કારણે અનેક લોકોના મોત નિપજયા હતા અને અનેક લોકોને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડયા હતા. ત્યારે ભાવનગરની આ ઘટના ગંભીર છે.
આપમાં આંતરિક વિવાદ:વલભીપુર આમ આદમી પાર્ટીના નવા પ્રમુખની નિમણૂંક સામે પક્ષમાં ભડકો
વલભીપુર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રમુખ સામે પક્ષના કાર્યકર્તાઓમા નારાજગી ફેલાઈ છે. તાલુકા પક્ષ પ્રમુખ તરીકે પચ્છેગામના અને જુના કોંગ્રેસ કાર્યકર દશરથસિંહ ગોહિલએ થોડા દિવસ પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને તે સાથે જ પક્ષના દ્વારા તેમને વલભીપુર તાલુકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. વલભીપુર તાલુકા આમ આદમી પાર્ટીના નવા પ્રમુખ નિયુક્ત થતા નવા પ્રમુખના ગામના અને પચ્છેગામના પૂર્વ સરપંચ અને આપ પાર્ટીના તખતસિંહ ગુમાનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નવા પ્રમુખની જે નિયુક્તિ કરવામાં આવી છે તે દસ દિવસથી આવેલા કોંગ્રેસી છે તો શું કોંગ્રેસને દગો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને સીધા જ તાલુકા પ્રમુખ તરીકે બેસાડી દીધા છે કોઈપણ જૂના કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા નથી. વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવાયો છે. ત્યારે આગામી સમયમાં પચ્છેગામ ધામમાં ભાગવત સપ્તાહ નિમિત્તે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત અનેક નેતાઓ આવી રહ્યા છે ત્યારે વલભીપુર તાલુકાના કાર્યકર્તાઓ નારાજ છે. 10 દિવસથી આવેલા કોંગ્રેસીને વલભીપુર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દશરથસિહ ગોહિલને બનાવતા વલભીપુર તાલુકાના કાર્યકર્તાઓ નારાજ છે. ગોપાલ ઇટાલીયા ભાવનગર આવે તે પહેલા જુના કાર્યકર્તાઓને પ્રમુખ નહીં બનાવે તો કંઈક નવાજુનીની શકયતા છે. આ બાબતને આપના જિલ્લા ઉપપ્રમુખ બનેશંગભાઈ મોરીએ પણ તખ્તસિંહ ગોહિલને સમર્થન આપ્યું છે. વલભીપુર બન્યું વિવાદનું એપી સેન્ટરરાજકીય રીતે વારંવાર વલભીપુર વિવાદમાં સપડાયેલું રહે છે. થોડા સમય પહેલા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા ભાજપના જ ધારાસભ્ય સામે બંડ પોકાર્યો હતો. તત્કાલીન સમયે ચૂંટાયેલા સરપંચો દ્વારા પણ ધારાસભ્ય સામે જાહેરમાં અણગમો વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ થોડા દિવસો પહેલા વલભીપુરમાં શરૂ કરેલા ન.મો. જન સેવા કેન્દ્ર ભાજપના જ આગેવાનોએ ફરિયાદ કરી બંધ કરાવ્યું હતું ત્યાં હવે આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખને હટાવવાની માંગ સાથે વિવાદ ચરમશીમાએ પહોંચ્યો છે.
ભરતનગરની આંગણવાડી જર્જરિત બની:સ્માર્ટ આંગણવાડી ! પાંચ વર્ષમાં જ મકાન જર્જરીત થતા ભ્રષ્ટાચારની બૂ
કોર્પોરેશન દ્વારા સ્માર્ટ આંગણવાડી બનાવી રહ્યા છે પરંતુ પાંચ વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયેલ ભરતનગરની આંગણવાડી જર્જરિત બની ગઈ છે. તે જ દર્શાવે છે કે સ્માર્ટ આંગણવાડી નું બાંધકામ સ્માર્ટ નથી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 87 સ્માર્ટ આંગણવાડીનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. અને આગામી બજેટમાં વધુ 50 આંગણવાડીને સ્માર્ટ બનાવવા માટે જોગવાઈ કરવામાં આવશે. પરંતુ આંગણવાડીનું બાંધકામ સ્માર્ટ હોતું નથી તેનો દ્રશ્ય દાખલો ભરતનગરની આંગણવાડી છે. ભરતનગરના રક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે કોર્પોરેશનની શાળાની બાજુમાં આંગણવાડી બનાવવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત 2020 માં થયું હતું. ત્યારબાદ લોકાર્પણ પછી આંગણવાડીના કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ આંગણવાડીનું બાંધકામ નબળી ગુણવત્તાનું હોય તેમ જર્જરિત થઈ ગયું છે. હાલમાં જર્જરીત બનેલી આંગણવાડીનું રીપેરીંગ અને રીનોવેશનનું કામ શરૂ છે.
મંદીમાં આશા ઉજળી:શિપ રિસાયકલીંગમાં અલંગ ફરી વર્લ્ડ લીડર બન્યું
વધુ એક વખત દક્ષિણ એશિયાના દેશોએ વૈશ્વિક શિપ રીસાયકલિંગ ક્ષેત્રે પોતાની સર્વોપરીતા હાંસલ કરી છે. વર્ષ 2025 દરમિયાન ભંગાણાર્થે મોકલવામાં આવેલા કુલ જહાજોના 85 ટકા હિસ્સો દક્ષિણા એશિયાના દેશોના ફાળે આવ્યો છે. જે પૈકી ભારતના અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડનો સિંહ ફાળો છે. સમગ્ર વિશ્વના 32 ટકા જહાજો ફક્ત અલંગ શિપ રીસાયકલિંગના ફાળે આવ્યા હતા. NGO શિપબ્રેકિંગ પ્લેટફોર્મ અનુસાર, ગયા વર્ષે બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનના દરિયા કિનારા પર કુલ 214 મોટા ટેન્કર, બલ્ક કેરિયર્સ, ઓફશોર પ્લેટફોર્મ અને કાર્ગો અને પેસેન્જર જહાજોને ભાંગવામાં આવ્યા હતા, જે વિશ્વભરમાં સ્ક્રેપ કરાયેલા વૈશ્વિક કુલ ટનેજના 85% થી વધુ હિસ્સો ધરાવે છે. બાંગ્લાદેશ અને ભારત શિપબ્રેકિંગ માટે શિપિંગ ઉદ્યોગના પસંદગીના સ્થળો છે. ગયા વર્ષે વૈશ્વિક સ્તરે 321 જહાજો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 214 દક્ષિણ એશિયામાં સમાપ્ત થયા હતા. તેમાં સૌથી વધુ અલંગમાં 111 શિપ, બાંગ્લાદેશમાં 88 શિપ, તૂર્કિમાં 49 શિપ, પાકિસ્તાનમાં 15 શિપ, યુરોપિયન યુનિયનમાં 14 શિપ અને અન્ય દેશોમાં 44 શિપ ભાંગવામાં આવ્યા હતા. જૂન 2025માં ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના હોંગકોંગ કન્વેન્શન (HKC) પર શિપ રિસાયક્લિંગ અમલમાં આવ્યાના મહિનાઓ પછી આ તારણો આવ્યા છે. બાંગ્લાદેશે કન્વેન્શન હેઠળ 17 શિપબ્રેકિંગ યાર્ડ્સને મંજૂરી આપી છે, પરંતુ પ્લેટફોર્મે નોંધ્યું છે કે આ સુવિધાઓ પર પણ ગંભીર અકસ્માતો ચાલુ રહે છે, જેમાં ઘટનાની જાણ ઘણીવાર અપારદર્શક અથવા સંપૂર્ણપણે ગેરહાજર હોય છે. વર્ષ 2021માં સમગ્ર વિશ્વમાં કુલ 763 શિપ ભંગાણાર્થે મોકલવામાં આવ્યા હતા અને 2025માં તેની સંખ્યા તદ્દન ઘટી અને 321 શિપ ઉપર પહોંચી ગઇ છે. આમ, વૈશ્વિક ક્ષેત્રે જ જહાજોના જથ્થામાં ઓટ આવી છે. વર્ષ 2022માં 443 શિપ પૈકી દ.એશિયામાં 292, 2023માં 446 પૈકી 325, 2024માં 409 શિપ પૈકી દ.એશિયામાં 214 શિપ ભંગાણાર્થે પહોંચ્યા હતા. ભાસ્કર એક્સપર્ટઅલંગમાં માંગ છે, વૈશ્વિક પુરવઠો ક્ષુલ્લક ઉપલબ્ધશિપ રીસાયકલિંગ ક્ષેત્રે જહાજોના પુરવઠામાં વૈશ્વિક સ્તરે ભયંકર ઓટ આવી છે, ભારતના અલંગમાં સારી માંગ છે પરંતુ નફાકારક જહાજોનો પુરવઠો ક્ષુલ્લક છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમો, કરવેરા સહિતની બાબતોએ અલંગને પાછલા વર્ષોમાં ખુબ ટેકો આપ્યો છે, તેની સકારાત્મક અસર પણ છે. ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય નિયમો, ધારાધોરણોનું પાલન અલંગમાં થાય છે તેથી નામાંકિત શિપિંગ લાઇનો પોતાના શિપ અલંગમાં મોકલવાનું વધુ ઇચ્છે છે. - રમેશભાઈ મેંદપરા, ઉપ-પ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.(ઇન્ડીયા)
સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:શહેરમાં હવાના પ્રદૂષણનો AQI 208, અત્યાર સુધીનો સર્વોચ્ચ
ભાવનગર શહેરની વચ્ચે જીવંત ફેફસા સમાન વિક્ટોરીયા પાર્કનું જંગલ આવેલું હોવા છતા વાયુ પ્રદૂષણ સર્વોચ્ચ સુચકાંકે પહોંચી ગયો હોવાની બાબત ચિંતાજનક છે અને તેના કારણે શહેર-જીલ્લામાં શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. બીજી તરફ પ્રદૂષણ કાબુમાં રાખવાની જેની જવાબદારી છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ભાવનગર કચેરી તળે બે જીલ્લાના 2000થી વધુ ઔદ્યોગિક એકમો પર નજર રાખવાની-કામગીરી કરવાની જવાબદારી છે તેની પાસે માત્ર 10નો જ સ્ટાફ મોજુદ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના પ્રાદેશિક અધિકારી એન.એમ.કાવરે જણાવ્યુ હતુ કે, ભાવનગરમાં રોડ-રસ્તા, ડ્રેનેજ કામ વ્યાપકપણે ચાલે છે, અને કામ લાંબા ચાલે છે, તેથી ડ્રેનેજ માટે ખોદકામ થાય, પાઇપલાઇનના કામ થાય, ત્યાર બાદ નવા રોડ બનાવવામાં આવે છે તેથી આ પ્રક્રિયામાં ધૂળ-માટી ભયંકર રીતે ઉડે છે, અને તેના કારણે વાયુ પ્રદૂષણ વધી રહ્યું હોવાનું તારણ છે, પરંતુ આવા પ્રકારના કામને ટેમ્પરરી ફેક્ટર ગણી શકાય. શહેર-જીલ્લામાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ, તાવના કેસનો ઇન્ડેક્સ વધી રહ્યો છે. ભાવનગર જીલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્ર તળે એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેકશનના 3554 અને શરદી-ઉધરસના 1626 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં ભાવનગર શહેરમાં નોંધપાત્ર રીતે છેલ્લા 10 વર્ષમાં વૃક્ષા રોપણ અને વૃક્ષ ઉછેરના કામ થયા છે, શહેર મધ્યે વિક્ટોરીયા પાર્કનું જંગલ પણ છે, છતા પ્રદૂષણની માત્રા વધી રહી છે તે ખરેખર ચિંતાનજક બાબત છે. ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે રજકણોની સમસ્યા રહેસામાન્ય રીતે શિયાળાની ઋતુમાં હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે તેના કારણે રજકણો હવામાં ભળતા વાર લાગે છે અને નીચલા સ્તરે ધૂળ-માટી ઉડતી અનુભવાય છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ સમસ્યા હોય તેવું એક્યુઆઇના આંકડા પરથી લાગે છે. વાયુ પ્રદૂષણ માટે ઉદ્યોગો, રોડ-રસ્તા, કન્સ્ટ્રકશનના કામોમાં થતી બેદરકારી પણ કારણભૂત ગણી શકાય. - ડો.એમ.એચ. ગાયતોંડે, નિવૃત્ત પર્યાવરણ અધિકારી દિવાળીમાં શહેરનો AQI 154થી207 હતોદિવાળી દરમિયાન ભાવનગર શહેરમાં એક્યુઆઇ 154થી 207ની વચ્ચે રહ્યુ હતુ, શિયાળાની ઋતુ આગળ ધપતા વાતાવરણ શુધ્ધ થવાને બદલે ભાવનગરની સ્થિતિ બગડતી જાય છે. અને AQIનુ સ્તર છેલ્લા 1 સપ્તાહમાં 208 સુધી પહોંચી ગયુ છે. ઘરથી બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું જેઈએતાજેતરના શહેરમાં મિશ્રઋતું જેવા ખરાબ હવામાનથી સૂકી ઉધરસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે. ખાસ કરીને દમ અને હૃદયરોગને સંબંધિત દર્દીઓને શ્વાસને લગતી સમસ્યા ઉદ્દભવતી હોય છે ત્યારે ઘરથી બહાર નીકળવા સમયે માસ્ક પહેરવું જોઈએ. - ડો.ગોપાલસિંહ પરમાર, પૂર્વ સેક્રેટરી, ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન, ભાવનગર
કોરિયન લવ ગેમ : ભારતીય ટીનએજર્સ માટે વધુ એક જીવલેણ રમત
- કે-પોપ અને કે-ડ્રામાનો ક્રેઝ ધરાવતી જેનઝી અને ટીનએજર્સ પેઢીને ફરી આત્મઘાતી બનાવવાની મેલી મુરાદનું આશંકા - આ કોરિયન સ્ટાઈલની એક ઓનલાઈન લવ ટાસ્ક આધારિત ગેમ છે. આ ગેમમાં યૂઝર એક વર્ચ્યુઅલ લવર અથવા તો પાર્ટનર સાથે જોડાય છે. તેઓ કોરિયન સ્ટાઈલમાં વાત કરે છે, રોમેન્ટિક મેસેજ મોકલે છે અને દરરોજનું એક ટાસ્ક આપે છે. ગેમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ટાસ્ક મુશ્કેલ થતું જાય છે. શરૂઆતમાં નાના-મોટા કામ સોંપવામાં આવે છે : આ ગેમ્સ બાળકો અને ટીનએજર્સ વધારે રમતા હોવાથી રોમેન્ટિક વાતોમાં, લાગણીશિલ વાતોમાં ફસાઈ જાય છે.
ડુપ્લિકેટ EWS સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું:મામલતદારના સહી- સિક્કા કરી સર્ટિ. બનાવનાર પકડાયો
જનસેવા કેન્દ્રમાં EWS પ્રમાણપત્ર માટે આપેલા ડોક્યુમેન્ટસમાં ક્વેરી નીકળતા એજન્ટે કોમ્યુટર પર એડિટ કરીને મામલતદારના સહિ સિક્કા બનાવી ડુપ્લિકેટ સર્ટિ બનાવી આપ્યાનું કૌભાંડ ખુલ્યું છે. મોટા વરાછા રહેતા હુસૈન અહમદ બાંગીએ EWSનું પ્રમાણપત્ર લેવાનું હોવાથી એજન્ટ નિકુંજ વિનુ ભુવા (રહે, દ્વારકાધીશ સોસાયટી કોસાડ)નો સંપર્ક કર્યો હતો. તા.14-11-2025ના રોજ એજન્ટ મારફતે તેમણે ઓનલાઇન અરજી કરી હતી. બાદમાં ડોક્યુમેન્ટ જન સુવિધા કેન્દ્ર પર જઇને જમા કરાવ્યા હતા. જો કે, તેમાં હુસૈનના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જન્મ સ્થળ રંગુન હતું તેમજ ગુજરાતમાં કાયમી પુરાવા ન હોવાથી કચેરીએ તેમને પ્રમાણપત્ર ઇશ્યુ કર્યું ન હતું. આ અંગે નિકુંજે તપાસ કરી તો પ્રમાણપત્ર ઇશ્યુ થઇ શકે તેવું જાણવા મળ્યું હતું. જેથી તેણે કોમ્યુટર પર પ્રમાણપત્ર એડિટ કરીને ડુપ્લિકેટ બનાવી આપ્યું હતું. નાયબ મામલતદાર હિરેન પટેલે ફરિયાદ નોંધાવતા ઉત્રાણ પોલીસે નિકુંજની ધરપકડ કરી છે. હુસૈને આ સર્ટિ ટેટમાં પણ રજૂ કર્યું હતું. ઓરિજિનલ લેવા આવતાં ભાંડો ફુટ્યોનિકુંજે ડુપ્લિકેટ પ્રમાણપત્ર બનાવીને હુસૈનને આપ્યું હતું. જેનો ફોટો તેણે ફોનમાં લઇ લીધો હતો. કોપીની જરૂર પડતા હુસૈન કેન્દ્ર પર જઇને ઓરિજિનલ માંગી હતી. જ્યારે ઓપરેટરે ચેક કરતાં આવું કોઇ સર્ટિ એપાયું ન હોવાનું ખુલ્યું હતું. આ અંગે મામલતદાર કે.જે.નાયકે પુછતાછ કરતાં નિકુંજે ગુનો કબુલી લીધો હતો.
VNSGUના વુમન ડેવલપમેન્ટ સેલ અને જેન્ડર રિસોર્સ સેન્ટર, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સેતુ કાર્યક્રમ અંતર્ગત ‘જાતિગત સમાનતા, સ્વાસ્થ, કાયદાકીય જન જાગૃતિ અને POSH ACT 2013” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શિક્ષણ વિભાગના પ્રોફેસર ડૉ. કિર્તીબેન ઠાકર દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમમાં સમજણ આપવામાં આવી હતી. શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા મહત્વની ટીપ્સ સમજદારી અને સજાગતાથી ખાવું એ એક વિશેષ કળા છેપ્રથમ સત્રના વક્તા ડો.હીના મકવાણાએ સ્ત્રી સંરક્ષણ અંતર્ગત કાયદાશાસ્ત્રની વિવિધ કલમો, POSH ACT 2013 અંગે માર્ગદર્શન આપ્યું હતું. બીજા સત્રમાં ડો.મહારુખ કરંજીયા હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા વક્તા લીફ એન્ડ લીનના ડૉ. શશી સૈનીએ મલ્ટિટાસ્કિંગ માઇન્ડ્સ અને અવગણાયેલા ભોજન: પોષણ માટેની એક ચેતવણી વિષય પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે આજના વ્યસ્ત જીવનમાં કાર્યરત મહિલાઓ પોતાના પોષણની જરૂરિયાતોને અવગણે છે. ભોજનમાં પ્રોટીન અને ગુડ ફેટને સામેલ કરવું જરૂરી છે. કારણ કે સમજદારી અને સજાગતાથી ખાવું એ એક કળા છે.
મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઉડૂપી, કર્ણાટકમાં સ્પેસ રોબોટિક્સ સોસાયટી દ્વારા યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ ડ્રોન ચેલેન્જ 2026માં SVNITના વિદ્યાર્થીઓએ ત્રીજો ક્રમ મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. SVNITના દ્રષ્ટી ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ‘માર્સ ડ્રોન’એ ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ ડ્રોન માર્સ ગ્રહના પર્યાવરણને ધ્યાને લઇને બનાવવામાં આવ્યું છે. જેમાં AIનો ઉપયોગ કરાયો છે. કોલેજના 6 બ્રાંચના 25 વિદ્યાર્થીઓએ સાથે મળીને આ ડ્રોન તૈયાર કર્યું છે. કોમ્પિટીશનમાં ડ્રોને બે મિશન સફળતાપૂર્વક પાસ કર્યાઆ સ્પર્ધામાં ડ્રોનને બે મીશનમાંથી પસાર કરાવવામાં આવે છે. પ્રથમ મિશન દરમિયાન ડ્રોન દ્વારા ત્રણ સ્તરની હાઇટ પરથી પ્રેશર, ટેમ્પરેચર અને હ્યુમિડિટીના ડેટા લઇ પર્યાવરણની સ્ટડી કરવાની હોય છે. આ ઉપરાંત GPSની મદદથી મેપ બનાવવા, ફોટો લેવા અને યોગ્ય જગ્યા પર સેન્સર મૂકવાનો ટાસ્ક અપાય છે. સાથે બીજા મિશન દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર વસ્તુઓ મૂકવા અને સોલર પ્લેટ સાફ કરવાની હોય છે. દ્રષ્ટી ક્લબની ટીમ દ્વારા નિર્મિત ડ્રોને આ તમામ સ્ટેજ સફળતાપૂર્વક પાસ કર્યા હતા. કોમ્પિટીશનમાં ભારતના વિવિધ રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓની 22 ટીમો દ્વારા નિર્મિત ડ્રોન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી વિવિધ રાઉન્ડ બાદ SVNITની ટીમ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ત્રીજા ક્રમે રહી હતી. આ ડ્રોનમાં GPS, તાપમાન, હ્યુમિડિટીને મેઝર કરવા સેન્સર લગાડ્યા છે. સાથે જ તેમાં AIની મદદથી વિવિધ વસ્તુઓની ઓળખવાની ક્ષમતા પણ છે.
નોકરી ન્યૂઝ:NIAમાં ઈન્સ્પેક્ટર અને SI-ASI જેવી 88 જગ્યા ભરાશે, પગાર રૂ. 1.42 લાખ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અને ઈન્વેસ્ટિગેશનમાં કાબેલિયત ધરાવતા જવાનો એટલે કે ‘સુપર કોપ્સ’ માટે દિલ્હીના દ્વાર ખુલ્યા છે, કારણ કે NIA દ્વારા પ્રતિનિયુક્તિના ધોરણે મોટી ભરતી જાહેર કરી છે. NIAમાં ઈન્સ્પેક્ટરની 38, SIની 27, ASIની 11 અને HCની12 જગ્યાઓ ભરાશે, જેમાં પસંદગી પામનારાને 7માં પગાર પંચ મુજબ 1.42 લાખ સુધી પગાર મળશે. યુજી-ધો. 12 પાસ - ઈન્વેસ્ટિગેશન કે ઈન્ટેલિજન્સનો અનુભવ ફરજિયાત છે. 21 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં રહેતા તમામ ગુજરાતીઓને સતાવતી કોમન સમસ્યા કઇ છે? ઇ-મેમો. ઝીબ્રા ક્રોસિંગની ઉપર વાહન રહ્યું કે હેલ્મેટ ન પહેર્યું હોય એટલે ઘરે ઇ-મેમો પહોંચી જાય. દર ચાર રસ્તે સીસીટીવી કેમેરા તો રાખ્યા છે. જે વીડિયો શૂટ કરવાનું કામ કરે છે પરંતુ એ વીડિયો ફૂટેજમાંથી જે વાહનચાલક કાયદો તોડે એનો ફોટો પાડવાનું કામ કોણ કરે? અત્યારે તો ગુજરાતમાં માણસો કરે છે પરંતુ બહુ ટૂંક સમયમાં એ કામ ગુજરાતમાં પણ મશીન કરશે. હવે સવાલ થાય કે મશીનને કઇ રીતે ખબર પડે કે આ વાહનચાલકે કાયદો તોડ્યો? મશીનને એ જ્ઞાન લાધે એ પ્રક્રિયાને મશીન લર્નિંગ કહેવાય. જેમાં મશીન ખુદ શીખ્યું કે ક્યારે, શું, કેવું અને કેટલું કામ કરવું. બીજું ઉદાહરણ. આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે ઓટો-પાયલટવાળી કાર આવશે. એવી કાર જેમાં ડ્રાઇવર નહીં હોય. હવે કાર ચલાવતા સોફ્ટવેરને તમે અમુક કમાન્ડ આપી શકો કે રેડ સિગ્નલ પાસે બ્રેક મારવી. એક જ લેનમાં ગાડી ચલાવવી, કોઇ રસ્તો ક્રોસ કરતું હોય તો બ્રેક મારવી પણ ગાડી ચલાવતી વખતે ભારત જેવા દેશમાં તો અનેક અડચણો આવે જેમ કે હાઇવે ઉપર રસ્તાની વચ્ચોવચ્ચ કોઇ પ્રાણીનો મૃતદેહ પડ્યો હોય કે પછી વધુ પડતી ઊંચાઇ ધરાવતા બમ્પને પાર કરવા માટે એકદમ ત્રાંસી કાર એની ઉપરથી ચલાવવી પડે વગેરે તો આવી નાની નાની વાતોના સોફ્ટવેરને કમાન્ડ આપી શકાય નહીં તો હવે શું કરવાનું? જવાબ છે મશીન લર્નિંગ. કારનું સોફ્ટવેર તેને મળતા અનુભવ ઉપરથી ખુદ શીખે અને યાદ રાખે. મશીન લર્નિંગની નેગેટિવ પરાકાષ્ઠાઆપણે ઘણી બધી હોલિવૂડની મુવીઝમાં જોયું છે કે મનુષ્યએ બનાવેલા રોબોટ્સ એટલે કે મશીન્સ મનુષ્ય કરતાં વધારે શક્તિશાળી બની જાય છે અને અંતે માણસનો અને આ દુનિયાનો અંતઃ લાવે છે. આમ માણસને કામમાં મદદ કરવા બનાવેલા મશીન્સ માણસનો જ અંત આણે છે! મશીન લર્નિંગની આ નેગેટિવ પરાકાષ્ઠા થઇ. જો મશીનો માણસ પાસેથી સ્વાર્થખોરી અને હિંસા શીખી ગયા તો? શું આવું થવું હકીકતમાં શક્ય છે? જો રોબોટ્સ એટલે કે મશીનનો કન્ટ્રોલ મનુષ્ય પાસે હોય તો એ રોબોટ્સ એટલા શક્તિશાળી કેવી રીતે બની જાય કે મનુષ્યનો જ અંત આણે? આમ તો આ મૂવીની વાત થઇ અને ફિલ્મસ અને રિયલ જિંદગીની વાસ્તવિકતા વચ્ચે ફરક હોય છે પણ હવે ટેક્નોલોજીની એક એવી શાખા નીકળી છે જેમાં મશીન પોતે જ જાતે આજુબાજુના વાતાવરણમાંથી ડેટા ભેગો કરીને અપડેટ થતો જાય અને એ શાખાને મશીન લર્નિંગ કહે છે! મશીન લર્નિંગની દુનિયામાં ડોકિયુંજેને અત્યારે આ ટેક્નોલોજી આવડે છે એને ઘી કેળાં છે કારણ કે કારકિર્દીની રીતે પણ અત્યારે આ ટેક્નોલોજી ખૂબ ડિમાન્ડમાં છે. એક નિર્જીવ લાગતું મશીન જાતે કઇ રીતે અપડેટ થતું રહે અને શીખતું રહે એ વાત અને કલ્પના જ ખૂબ રોમાંચક નથી? તો ચાલો આ રોમાંચક લગતી મશીન લર્નિંગની દુનિયામાં એક ડોકિયું કરીએ. મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક એપ્લિકેશન છે જે સિસ્ટમને કોઇ રીતે પ્રોગ્રામ કર્યા વગર અનુભવમાં આપમેળે શીખવાની અને સુધારવાની તક પૂરી પાડે છે. સાદી ભાષામાં મશીન લર્નિંગ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સના વિકાસ પર ફોકસ કરે છે જે ડેટાને એક્સેસ કરી શકે છે અને તેનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે. એનું લોકપ્રિય ઉદાહરણ છે એપલની એલેક્સા કે ગૂગલની સિરી..! તમને એક સવારે ઉઠીને બોલિવૂડના ગીતો સાંભળવાનું મન થાય છે અને તમે સિરીને કહો છો સિરી બોલિવૂડનું કોઇ ગીત સંભળાવ અને સિરી કોઇ એક ગીત રેન્ડમલી શરુ કરે છે જે તમને નથી ગમતું અને તમે કહો છો કે આ નહીં પણ અરિજિતસિંહનું આ ગીત સંભળાવ. સિરી એ સંભળાવે છે.. તમારી વાત સાંભળીને એને પ્રોસેસ કરવાની જે પ્રક્રિયા છે એને સાદી ભાષામાં મશીન લર્નિંગ કહી શકાય. ચાલો વધારે ડિટેઈલમાં આ વાત સમજીએ આ આખી પ્રક્રિયા ડેટાને સમજવા અને શીખવાની પ્રક્રિયાથી શરુ થાય છે જેમ કે ઉદાહરણ, સૂચના અને અથવા અનુભવથી ડેટામાં એક પેટર્ન શોધવી અને એનો ઉપયોગ ભવિષ્યમાં સારા નિર્ણય લેવા કરવો. આગળ ઉપર જોયું એમ બોલિવૂડ સંગીતના ખજાનામાંથી અરિજિતસિંહના ગીતોને પ્રોસેસ કરી થોડા તમને ગમતા ગીતોના ડેટામાંથી ગીતો વગાડવા...!! છે ને અદ્ભૂત વાત..!! આ સિરી કે એલેકસા તો મશીન લર્નિંગના વ્યાપક ઉપયોગના સમુદ્રમાંથી નાના ઉદાહરણ છે. અત્યારે મશીન લર્નિંગ ક્યાં નથી વપરાતું અને ભવિષ્યમાં ક્યાં નહીં વપરાય એ સવાલ છે. આ ઇન્ટેલીજન્ટ સિસ્ટમ જે મશીન લર્નિંગના અલ્ગોરિધમ પર બંધાયેલી છે એ ભૂતકાળના અનુભવો અને ઐતિહાસિક ડેટામાંથી શીખવાની ક્ષમતા ધરાવે છે માટે એનો ઉપયોગ વ્યાપક જગ્યાએ થાય છે. જેમ કે મેડિકલ નિદાન, સ્પીચ અને ઇમેજ રેકગ્નિશન, ક્લાસિફિકેશન, પ્રિડીક્શન વગેરે વગેરે ...!! અસંભવિત લાગતા કામ પણ મશીન કરી શકેમશીન લર્નિંગનો ઉપયોગ એવી ટેકનિક અને ટૂલ્સમાં થાય છે જે રોગોના નિદાનમાં અને તેની આગાહીમાં મદદ કરી શકે છે. નાણાંકીય અને બેન્કિંગ ક્ષેત્રે મશીન લર્નિંગ અસંભવિત કામો કરી શકે છે. એ બેંકોને સ્માર્ટ નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. મશીન લર્નિંગની મદદથી તમે એકાઉન્ટ બંધ થાય એ પહેલા જોઇ શકો છો. આ ટેક્નોલોજીમાં ડેટા પ્રોસેસ કરવાનું અને એને છૂટા પાડવાનું કામ મુખ્ય છે એટલે એ બેન્કનો ગ્રાહક એના પૈસા કઇ રીતે ખર્ચે છે, એનો શું ઉપયોગ કરે છે એ ટ્રેક કરી શકે છે જે બેન્કને કઇ ટાઇપની પ્રોડક્ટ ગ્રાહકને વેચવી એ નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. મશીન લર્નિંગના ચાર પ્રકારો છે.1. સુપરવાઇઝડ લર્નિંગ 2. અન-સુપરવાઇઝ્ડ લર્નિંગ 3. સેમી-સુપરવાઇઝ્ડ લર્નિંગ 4. રેઇનફોર્સમેન્ટ લર્નિંગ ચારે પ્રકારોના નામ જ કહી દે છે કે તેની કાર્યપદ્ધતિ શું હશે. છતાં પણ ટૂંકમાં સમજીએ તો અલ્ગોરિધમ-ડેટાનો એક સેટ હોય જે મશીનને આપવામાં આવે. સુપરવાઇઝ્ડ લર્નિંગમાં મશીન 'ચીંધ્યા કામનું કરનારું હોય'. રજનીકાંતની રોબોટ ફિલ્મમાં શરૂઆતનો રોબોટ જેનું નામ ચીટી છે તેને અસલી રજનીકાંતના મમ્મી એવો હુકમ આપે છે કે-જરા ટીવી ખોલ દો તો એ ટીવીને તોડીને ખોલી નાખે છે. એ સુપરવાઇઝ્ડ લર્નિંગનો પ્રકાર થયો. અન-સુપરવાઇઝ્ડ લર્નિંગમાં ભૂતકાળમાં અપાયેલા ડેટામાંથી નવી ટાસ્ક માટે જરૂરી અલ્ગોરિધમ સાથે મશીન આપોઆપ કનેક્શન સ્થાપે છે અને કામ કરે છે. સેમી-સુપરવાઇઝડ બંન્નેનું મિશ્રણ છે અને રેઇનફોર્સમેન્ટ લર્નિંગ એટલે જે રોબોટ ફિલ્મના ઇન્ટરવલ પછી થાય છે. જેમાં રોબોટ વિલન જાતે શીખે છે, જાતે બીજા રોબોટનું પ્રોડક્શન કરે છે. મશીન લર્નિંગનો ઉપયોગ પોલીસ, સાયબર ક્રાઇમ, ક્રાઇમ ડિટેકશન, ફોરેન્સિક લેબ, મેડિકલ સાયન્સ, વાયરસની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ બધા ક્ષેત્રે થઇ રહ્યો છે. કદાચ એવું બને કે દૂરના ભવિષ્યમાં તમારે તમારા બાળકને ભણવા મુકવાનું રહે જ નહીં. એને બદલે એક રોબોટ વસાવવાનો જે તમારા બાળકને શીખવાડે અને પછી તમારા બધા કામ કરે અને જો એ રોબોટનું ફટક્યું તો તમારી ઉપરવટ પણ જાય!
નોકરીના 9 થી 5 ના ચક્કરમાં જે એન્જિનિયર્સનું માસ્ટર્સ કરવાનું સપનું ફાઈલો નીચે દબાઈ ગયું હતું, તેમના માટે SVNIT સુરત કરિયર બૂસ્ટર લઈને આવ્યું છે. સંસ્થાએ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે લર્નિંગ અને અર્નિંગનો સુમેળ સાધતા 5 હોટ ફેવરિટ M.Tech કોર્સ લોન્ચ કર્યા છે. ઓનલાઇન ક્લાસીસ અને ઓફલાઇન પરીક્ષાના હાઇબ્રિડ મોડલ દ્વારા પ્રોફેશનલ્સ હવે જોબ છોડ્યા વિના પોતાની પ્રોફેશનલ વેલ્યુ અને પર્સનલ ગ્રોથમાં અનેકગણો વધારો કરી શકશે. આ કોર્સમાં એડમિશન માટે ઉમેદવારો પાસે B.E./B.Tech માં 55% માર્ક્સ કે 6.0 CGPA હોવા જરૂરી છે તેમજ ગ્રેજ્યુએશન બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો કામનો અનુભવ સાથે હાલની કંપની તરફથીનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. તમામ ક્લાસીસ ઓનલાઇન લેવાશે, જેને કારણે ઉમેદવારે નોકરીમાંથી રજા લેવી પડશે નહીં. જ્યારે ડિગ્રીની વિશ્વસનીયતા જાળવવા માટે પરીક્ષા ઓફલાઇન કેમ્પસમાં લેવાશે. આ કોર્સનો સમયગાળો 3 થી 5 વર્ષની લવચીકતા વાળો છે, જેથી તમે તમારા વર્ક લોડ મુજબ ભણી શકો. કામની વાત : હાઈ-ડિમાન્ડ M.Tech કોર્સM.Tech (EE-E-Mobility)શું ભણાવશે: EV આર્કિટેક, બેટરી મેનેજમેન્ટ-ચાર્જિંગ સ્ટેશન ટેકનોલોજી. M.Tech (ME ઈલેક્ટ્રોનિક એન્જિ.)(VLS-એમ્બેડેડ સિસ્ટમ)શું ભણાવશે: IC ડિઝાઇન (ચિપ ડિઝાઇન), સેમિકન્ડક્ટર ફિઝિક્સ અને સિસ્ટમ ઓન ચીપ (SoC). M.Tech (Civil) (વોટર રિસોર્સ / સ્ટ્રક્ચર / ટ્રાન્સપોર્ટેશન)શું ભણાવશે : આધુનિક ડેમ ડિઝાઇન, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન, હાઈવે પ્લાનિંગ અને આધુનિક બાંધકામ મટીરિયલ. M.Tech (MED) (એડવાન્સ અને ડિઝાઇન-પ્રોડક્શન)શું ભણાવશે: કોમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન, રોબોટિક્સ-સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ. M.Tech (PE D)શું ભણાવશે: રિન્યુએબલ એનર્જી (સોલર/વિન્ડ) ઇન્ટિગ્રેશન અને સ્માર્ટ ગ્રીડ મેનેજમેન્ટ. નોંધ: આ કોર્સ માટે ઓનલાઇન અરજી કરવા તેમજ વધારે વિગતો માટે https://mis.svnit.ac.in/svmtech વેબસાઇટ જોતા રહેવું
સન્માન કાર્યક્રમ યોજાયો:વૈષ્ણવ વરિષ્ઠ પરિવારનો સન્માન કાર્યક્રમ, વડીલ વંદના પણ કરાઈ
વૈષ્ણવ વરિષ્ઠ પરિવાર, અડાજણ દ્વારા લગ્ન જીવનના 50 વર્ષ તથા જીવનના 75, 80, 85 અને 90 વર્ષ પૂર્ણ કર્યા હોય એ વડીલોનો સત્કાર કરવા માટે 26 જાન્યુઆરીના રોજ ઈશીતા પાર્ક, અડાજણમાં સિનીયર સીટીઝન હોલ ખાતે યોજાયો હતો, સંસ્થાનાં પ્રમુખ કિરીટભાઈ પચ્ચીગર, ઉપપ્રમુખ પ્રકાશભાઈ સુતરીઆ અને મંત્રી કિશોરભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે અતુલભાઈ કાપડિયા અને અતિથી વિશેષ તરીકે પ્રકાશબાબુ મિસ્ત્રી તથા નિતિનભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વૈષ્ણવ વરિષ્ઠ પરિવારની ૧૩ મી વર્ષગાંઠની ઉજવણી, વડીલ વંદના અને પુત્રવધુનું સન્માનનું આયોજન કરાયુ હતું. જેમાં સિનિયર સિટિઝન્સનું અસલ લગ્નની પ્રથાનાં રૂપે રજુ કરાયું હતું,
સમૂહલગ્નનું આયોજન કરાયું:વાવ પંથક જૈન સમાજના 27માં સમૂહલગ્નમાં 35 યુગલો જોડાશે
ઉત્તર ગુજરાતના વતની વાવ પંથક જૈન સમાજ કુરિવાજોને તિલાંજલી આપીને આધુનિકતા સાથે કદમ મેળવી રહ્યો છે. તેને દૂર કરવા માટે સતત 27માં વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાવ પંથક છેલ્લા ઘણા વર્ષોથી એવા સમૂહ લગ્ન દ્વારા સમાજ ને જોડી રહ્યું છે અને મોંઘવારીમાં કોઈપણ લોકોને આર્થિક રીતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સમાજ સતત આ આયોજન કરી રહ્યું છે. 5 ફેબ્રુઆરી એ પાલ ખાતે આ સમૂહલગ્ન યોજાશે જેમાં અંદાજે 5000 જેટલા લોકો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપશે. પ્રથમ વાર નવા અભિગમ સાથે સગાઈ અને મોસાળું એક સાથે જ કરવામાં આવ્યું હતું. જે સમાજના રીત ભાતને અલગ ઓળખ આપેછે. વિવિધ લાભાર્થી પરિવારો દ્વારા અલગ અલગ લાભો લેવામાં આવ્યા છે. 2 મહિના પૂર્વે જ સમગ્ર આયોજન માટેની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી હતી. વાવ સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ વોરા એ જણાવ્યું કે સામાજિક અને આર્થિક કર્યો કરીને સમાજને એક તાંતણે બાંધીને જરૂરિયાતના સમયે એકબીજા સાથે ઊભા રહે છે. દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી ને સુરતના વિકાસમાં ફાળો આપ્યો છે.
ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે:સરસાણામાં ત્રિદિવસીય એનર્જી, પાવર, ઇલેકિટ્રકલ એક્ષ્પો
ચેમ્બર ઓફ કોમર્સ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે 6થી8 ફેબ્રુઆરી, સવારે 10થી સાંજે 7 કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ઊર્જા, પાવર અને ઇલેકિટ્રકલ ક્ષેત્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને એનર્જી, પાવર, ઇલેકિટ્રકલ એક્ષ્પો માત્ર એક એકિઝબિશન નથી, પરંતુ ઊર્જા ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી, નવીન ઉત્પાદનો અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. સરકારની નીતિઓ, પીએસયુઝની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની નવીનતા આ ત્રણેય વચ્ચે અસરકારક જોડાણ સ્થાપિત કરવાનો હેતુ છે. પાવરીંગ ધ ફ્યુચર ટુડેના થીમ હેઠળ એકિઝબિશન દ્વારા ગ્રીન એનર્જી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂતી મળશે. 6 ફેબ્રુઆરી, સવારે 10 કલાકે બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનના હસ્તે એકિઝબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ‘જ્ઞાન વિનિમય માટે એક મહત્વપૂર્ણ મંચ’વિજય મેવાવાલાએ જણાવ્યું કે,. આ એક્ષ્પો ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ તેમજ વિદ્યાર્થીઓ માટે નેટવર્કિંગ, બિઝનેસની તકો અને જ્ઞાન વિનિમય માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. એક્સપોમાં ગર્વમેન્ટના વિભાગો પણ ભાગ લેશેઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના 29 તથા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પૂણે, મુંબઇ અને ગાઝિયાબાદના મળી 60 એકિઝબિટર્સ એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે, જેમાં 65 ટકા મેન્યુફેકચરર્સ અને 35 ટકા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનો સમાવેશ થાય છે. એકિઝબિટર્સ દ્વારા રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટર, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સ, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસ અને સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં વિવિધ પ્રોડકટનું પ્રદર્શન કરાશે. આ એક્ષ્પોમાં ગવર્નમેન્ટ વિભાગો, તેમજ કોર્પોરેટ સેગમેન્ટ્સ ભાગ લેશે.
લોકોને જાગૃત કરવા નવો કીમિયો:ગેરકાયદે નળ-ગટર નિયમિત કરવાની યોજનાને બચાવવા હોર્ડિંગ્સ લગાવાશે
ગેરકાયદે નળ અને ગટર જોડાણોને નજીવા દંડ સાથે નિયમિત કરવા જાહેર કરાયેલી યોજનાને ખાસ પ્રતિસાદ મળી રહ્યો નથી, જેથી યોજના ફિયાસ્કો ન બને તે માટે હવે શહેરભરમાં હોર્ડિંગ્ઝ લગાવી પ્રચાર કરવા તૈયારી શરૂ કરાઈ છે. સ્ટોર્મ લાઇનમાં ગેરકાયદે ગટર જોડાણોથી પાણી પુરવઠાને સીધી અસર થઈ રહી છે. જન જાગૃતિનો અભાવ હોવાનું સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સપાટી પર આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ 22 જાન્યુઆરીએ સુઓમોટો દરખાસ્ત લાવી રહેણાક એકમો કે જેમની પાસે BU પણ ન હોય અને ગેરકાયદે નળ જોડાણ ધરાવતા હોય તો 31 ડિસેમ્બર, 2026 સુધીમાં 500 રૂપિયા ભરી જોડાણ નિયમિત કરાવવા મંજૂરી અપાઇ હતી. તેમ છતાં મોટાભાગના મિલકતદારોને આ યોજના વિશે યોગ્ય જાણકારી ન હોવાનો મુદ્દો ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય જિતેન્દ્ર સોલંકીએ ઉપાડ્યો હતો. તેમણે કહ્યું કે, જોડાણો કાયદેસર કરવા તથા મિલકતવેરા પર વ્યાજ માફી અંગેના બોર્ડ-બેનર પ્રસિદ્ધ કરવા જોઇએ, જેથી મિલકત ધારકો પૂરેપૂરો લાભ લઇ શકે. લોકોમાં રહેલી દંડ-ચાર્જની મૂંઝવણ પણ દૂર થવી જોઇએલોકોમાં રહેલી દંડ અને ચાર્જની મૂંઝવણ પર દૂર થવી જોઇએ. લોકોમાં એવો ડર છે કે જો તેઓ સામે ચાલીને જોડાણ નિયમિત કરાવવા જશે, તો મોટો દંડ ભરવો પડશે. એટલું જ નહીં પણ કાગળિયા એકત્રિત કરવા અને અટપટી વહીવટી પ્રક્રિયા માટે ધક્કા ખાવા પડતા હોવાની પણ સામાન્ય વ્યક્તિમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવી જોઇએ.
વેધર રિપોર્ટ:દિવસનો પારો 1 ડિગ્રી અને રાત્રિનો દોઢ ડિગ્રી વધતાં ઠંડીમાં રાહત
સુરત શહેરમાં દિવસે ગરમી અને રાતે હળવી ઠંડી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ બાબતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થયો હતો. ઉત્તર-પશ્ચિમ દિશાથી 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 75 ટકા અને સાંજે 63 ટકા નોંધાયું હતું. આગામી બે દિવસ પણ ઠંડીનો પારો 20થી 21 ડિગ્રી રહેશે, જ્યારે દિવસનું તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.
બજેટમાં વેપારીઓને રાહત:GSTનું રિફંડ હવે 60ની જગ્યાએ 7 દિવસમાં
કેન્દ્રીય બજેટમાં જીએસટીને લઇને કેટલાંક સુધારા કરાયા છે, જેમાં રિફંડને લઇને વેપારીઓને મોટી રાહત મળી છે. અગાઉ વણવપરાયેલી રિફંડ ઇનવર્ડેટ ડ્યૂટી સ્ટ્રકચરમાં નવા નિયમ મુજબ 90 ટકા રિફંડ ચૂકવાશે અને તે 7 વર્કિંગ દિવસમાં મળશે. અગાઉ 60 દિવસમાં ચૂકવાતું હતું. નવા નિયમથી ઉત્પાદકોને લિક્વિડિટીમાં સરળતા રહેશે. આ ઉપરાંત ઝીરો રેટ સપ્લાય ઓફ એક્સપોર્ટ અને સેઝના એક હજારના કિસ્સા રિફંડ મળતું ન હતું. હવેથી મિનિમમ રકમ હોવા છતા પણ રિફંડનો દાવો કલમ 54(14) મુજબ ડીલર કરી શકશે. આ સાથે બ્રોકર, એજન્ટ કે અન્ય કોઇપણ રીતે ભારતની બહાર કોઈના માટે કોઈ ફેસિલિટી કે સર્વિસ પૂરી પાડતા હોય તો અગાઉ તેમાં ટેક્સ લાગુ પડશે તે અન્વયેનું લિટિગેશન ચાલી આવતું હતું. હવે આવી સર્વિસને રાહત મળી છે. આઇજીએસટીની કલમ 13 (8)(બી)ને અનુરૂપ રિફંડ માગી શકાશે, જેથી વેપારીને ટેક્સ-રિફંડમાં રાહત થશે. નેશનલ એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરી શકાશેકાયદાની કલમ 101(એ)માં નેશનલ એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગની જોગવાઈ હતી, પરંતુ અમલીકરણ થયું ન હતું. જે 1 એપ્રિલથી શરુ કરાશે અને જેમાં બે કે વધુ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો અથવા બંનેના અપીલ સત્તાવાળાઓ દ્વારા વિરોધાભાસી એડવાન્સ ચુકાદા અપાયા હોય ત્યાં અરજદાર કે કમિશ્નર આવા એડવાન્સ ચુકાદાથી નારાજ થઈ અપીલ કરી શકશે. > કૃણાલ આઇસ્ક્રીમવાલા, એડવોકેટ એક્સપર્ટ
ખજોદમાં સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના વિશાળ ઢગલામાં સોમવારે લાગેલી આગ 72 કલાકે પણ કાબૂમાં આવી રહી નથી. 20 લાખ લિટર પાણીનો મારો ચલાવવા છતાં આગ ઠરવાનું નામ નહીં લેતાં આખરે બુધવારે 150 ટન માટી વેસ્ટ નાંખીને આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો. સતત 3 દિવસથી ફેલાતા ઝેરી ધુમાડાને પગલે GPCBએ પાલિકાને પત્ર લખીને પુછ્યું હતું કે, ‘ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું પગલાં લેશો’ આ સાથે જ આ ઘટનાનો વિસૃત અહેવાલ પણ માંગ્યો હતો. 30 લાખ ટન કચરામાંથી 8 લાખ બચ્યો, રોજનો 8 હજાર ટનનો ઉમેરો ઓપરેશન ‘ખજોદ’: 12 પોકલેન, 15 હાઇવાને મેદાનમાં ઉતારાયાંકચરાના પહાડ પર ફાયર ફાઇટર અને માટી ભરેલી ગાડીઓ જઈ શકે તે માટે 12 પોકલેન મશીનો દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હતો. 15 જેટલા હાઇવા ટ્રેક્ટરોએ 5-5 ફેરા મારીને 150 ટન માટી આગગ્રસ્ત વિસ્તારમાં ઠાલવી છે. પાલિકાનો દાવો છે કે 90% આગ કાબૂમાં છે, પરંતુ પવનની ગતિ અવરોધ બની રહી છે. ગેરરીતિના ગંજ વચ્ચે ‘શંકાસ્પદ’ આગ 1. કોન્ટ્રાક્ટની અવધિ: સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં નવી એજન્સી ન મળતાં હાલમાં આ જ એજન્સી પાસે કામ કરાવાય રહ્યું છે. 2. કૌભાંડની તપાસ: કચરો પ્રોસેસ વિના બારોબાર ગામોમાં નિકાલ કરવાના કૌભાંડમાં એજન્સી અને અધિકારીઓ સામે તપાસ ચાલુ છે ત્યારે જ આગ લાગતાં અનેક શંકા જન્મી છે. 3. મિથેનનું બહાનું: તંત્ર મિથેન ગેસને કારણ ગણાવી રહ્યું છે, પણ 8 લાખ ટન કચરાના નિકાલમાં કરવામાં આવેલી આળસ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મિથેન ગેસને કારણે કચરાના વિશાળ જથ્થામાં આગ લાગી હોવાની શક્યતા છે. રિપોર્ટ મુજબ આગ લગભગ નિયંત્રણમાં આવી ગઈ છે. > એમ. નાગરજન, મ્યુનિસિપલ કમિશનર
ફેમિલી કોર્ટમાં એક વિચિત્ર કિસ્સો આવ્યો હતો, જેમાં પત્નીએ પોતાની આંખની બીમારી અંગે સાસરિયાને જાણ કરી ન હતી. જો કે, લગ્ન બાદ ભોપાળુ ખુલતાં પતિએ છુટાછેડા લઈ લીધા હતા. પતિ ત્યારે ચોંકી ગયો જ્યારે પત્નીની તબિયત ખરાબ થતાં ચેકઅપ કરવાની જરૂર પડી, જેમાં જાણવા મળ્યું કે એક આંખમાં તો 16 નંબર છે! સમગ્ર સ્થિતિનો ખુલાસો થતાં સાસરિયાઓએ એવું કહ્યું કે આંખની સમસ્યાના લીધે સગપણ આવતું ન હતું, જેથી વાત છુપાવી હતી. આ ખુલાસા બાદ બંને જુદા રહેવા લાગ્યા પણ પત્નીએ છુટા ન થવું હોય તેણે ઝેર પી જવાની ધમકી પણ આપી હતી. અરજદાર તરફે એડવોકેટ જીગ્નેશ હરિયાણીએ દલીલો કરી હતી. અમદાવાદ ચેક કરાવ્યું તો ડોકટરે કહ્યું ‘અરે, તમને તો કહ્યું હતું કે 16 નંબર છે’લગ્નના બીજા દિવસે પત્નીની તબિયત બગડતાં તેને નજીકની હોસ્પિટલ લઇ જવાઈ હતી, પરંતુ બીજા દિવસે ફરી તબીયત લથડતાં સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દિવસે પત્નીએ કહ્યું હતું કે મને બંને આંખમાં દોઢ-દોઢ નંબર છે. ત્રીજા દિવસે પતિએ કહ્યું કે ચશ્માની નવી ફ્રેમ બનાવી લઈએ. ત્યારે પત્નીએ કહ્યું કે મેં તમારાથી એક વાત છુપાવી હતી કે મને બંને આંખમાં દોઢ-દોઢ નહીં પરંતુ ત્રણ-ત્રણ નંબર છે. પછી બંને નવી ફ્રેમ લેવા ગયા હતા તો ત્યાં ફ્રેમ બનાવનારને જ ખ્યાલ આવ્યો નહીં કે કયો નંબર છે. આથી બાદમાં બંને હોસ્પિટલ ગયા હતા જ્યાં પત્નીની આંખમાં ટીપા નંખાતા પતિ બહાર આવ્યો હતો ત્યારે ડોકટરે કહ્યું હતું કે એક આંખમાં અઢી નંબર છે જે ક્રોસ છે અને બીજી આંખમાં 16 નંબર છે. આ સાંભળતા જ પતિ ડઘાઈ ગયો હતો. તેણે પૂછ્યુ કે આનો કોઈ ઇલાજ છે તો ડોકટરે કહ્યું કે નશો સૂકાઈ ગઈ છે. હવે ઇલાજ શક્ય નથી. જો કે, સાસરિયાઓએ આ રિપોર્ટ પર વિશ્વાસ નથી કહીને વાત ફગાવી દીધી હતી અને બધા અમદાવાદ ગયા હતા જ્યાં ડોકટરે પત્નીને જોઈને જ કહી દીધું હતું કે તમને તો અગાઉ કીધું હતું કે 16 નંબર છે! અંતે બંનેના છુટાછેડા થયા આખું ભોપાળું ખબર પડી જતાં પતિ આખરે કોર્ટમાં પહોંચ્યો હતો અને તેણે સમગ્ર હકીકત વકીલ મારફત કોર્ટ સમક્ષ રજૂ કરી હતી અને કોર્ટે દલીલો માન્ય રાખીને છુટાછેડાની અરજી મંજૂર કરી દીધી હતી.
આત્મહત્યા:ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ ફ્લેટની અગાસી ઉપરથી મોતની છલાંગ લગાવી
મકરપુરાના હવેલી રેસીકોમ ફ્લેટમાં રહેતા નિવૃત એરફોર્સ ઓફિસરની ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 20 વર્ષીય દિકરીએ ફ્લેટની અગાસીમાંથી મોતની છલાંગ લગાવી હતી. ઘટના ફ્લેટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વિદ્યાર્થિનીને ધો.10ની બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક આવતાં તે તણાવમાં હતી. તેની દવા પણ ચાલતી હતી. ગત શનિવારે માતા, ભાઇ અને વિદ્યાર્થિની જ ઘરે હતાં. માતા સુઇ ગયા બાદ ફ્લેટના કપાઉન્ડમાંથી અવાજ આવતા તે નીચે ગયા હતા, જ્યાં દિકરી બેશુદ્ધ પડી હતી. જેને હોસ્પિટલમાં લઈ જતાં મૃત જાહેર કરાઇ હતી. પોલીસે વિદ્યાર્થિનીના રૂમની તપાસ કરતાં કંઈ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. વિદ્યાર્થિનીના પિતાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, દીકરી તાણમાં રહેતી હતી. 10 મિનિટ અગાસીમાં રોકાઇવિદ્યાર્થિની અગાસીમાં પહોંચી અને તેની 10 મીનીટ બાદ તેણે જંપલાવ્યું હતું. અગાસીની પાળી પોણા પાંચ ફૂટ ઊંચી છે અને ત્યાં સોલાર પેનલના એંગલ લગાવેલા છે. જેથી તે એંગલ દ્વારા તેણે પાળી પર ચડવાનો પ્રયાસ કર્યો હશે. તેવું પોલીસનું માનવું છે. ઉલ્લેખનીય છે કે, હવેલી રેસિકોમ ફ્લેટની બિલ્ડીંગની ઊંચાઇ 65 ફૂટ છે.
ફરિયાદ નોંધાઈ:મહિલા મિત્રે પૈસા પરત ન આપતા સાડીની વેપારીએ ફરિયાદ નોંધાવી
શહેરના કોઠારિયા રોડ કૈલાસપાર્ક-3માં રહેતા જયાબેન રમેશભાઈ ગરનારા(ઉં.વ.57) દ્વારા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે 150 ફૂટ રિંગ રોડ અરાઈઝ-2માં રહેતી પ્રીતિ બીપીનભાઈ કારેલીયાનું નામ આપ્યું હતું. જયાબેન સાડીનો વેપાર કરે છે. સાડીનો જ વેપાર કરતી પ્રીતિને તેણી 20 વર્ષથી ઓળખે છે. આ પ્રીતિ અવારનવાર તેની પાસેથી હાથ ઉછીના પૈસા લઇ જતી હોય જેથી વર્ષ 2019માં તેના હસ્તક હંકારવા આપેલી તેની જ શેરીમાં રહેતા ભીમજીભાઈ રાઠોડની કારનું અકસ્માત થતા પ્રીતિ તેની પાસેથી 1.10 લાખ હાથ ઉછીના લેવા આવી હોય પૈસાની સગવડતા ન હોય તેથી પોતે પોતાના દાગીના મુથુટમાં મૂકી તેણીને 1.10 લાખ ઉછીના આપ્યા હતા. એક વર્ષ પછી તેણીને ઘરેણા છોડાવવા રૂપિયાની માંગણી કરતા તેણીએ સગવડતા ન હોવાનું કહેતા લોન રીન્યુ કરાવી હતી. અંતે મુથુટ ફાઈનાન્સમાં તેના ઘરેણાની હરાજી થઇ જતા તેણીને ફરી પૈસાની જરૂર પડતાં તે રૂ.3.05 લાખ હાથ ઉછીના લઇ ગઈ હતી. આ ઉપરાંત પ્રસંગમાં ઘરેણા પહેરી જવાનું કહી ઘરેણા પરત ન આપી તથા કરિયાણા અને અલગ અલગ બહાના કાઢી કુલ રૂ.6.31 લાખ પડાવી જઈ ઠગાઈ આચરતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આધેડનું હાર્ટ અટેકથી મોત:બેંગલોરથી રાજકોટ આવેલા આધેડનું હૃદય બેસી જતાં મૃત્યુ
રાજકોટના સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્યામ સ્કાય લાઇફ એપાર્ટમેન્ટ બી-1204માં રહેતાં રાજભાઇ ત્રાંબડિયા (ઉ.વ.47) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં મૃત જાહેર કરવામાં કરાયા હતા. બેંગ્લોર રહી નોકરી કરતાં રાજભાઇ બે દિવસ પહેલા જ અહિ આવ્યા હતાં. હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યું હતું. રાજભાઇ ગઇકાલે ઘરે જમીને સૂતા હોય બાદમાં તેમના માતા ભાવનાબેન તેને જગાડવા જતાં તેઓ ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. રાજભાઇ એક બહેનથી મોટા હતાં. તેમને સંતાનમાં એક દીકરો છે. પોતે બેંગ્લોર રહી નોકરી કરતાં હતા. દીકરો રાજકોટમાં ભણતો હોય તે તથા પત્ની અહીં રાજકોટ રહેતાં હતાં. બે દિવસ પહેલા જ રાજકોટ માતા, પત્ની, પુત્રને મળવા આવ્યા હતાં. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. જ્યારે રૈયા ટેલિફોન એક્ચેન્જવાળી શેરીમાં રહેતાં કમલેશભાઇ જેઠાણી (ઉ.વ.37) નામના યુવાનનું હૃદય બેસી જવાથી મૃત્યુ થયું છે. યુવક રાત્રે પાણી પીવા માટે ઊભો થયેલ એ સાથે જ એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહીં તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કમલેશભાઇ બે ભાઈથી નાના અને અપરિણીત હતાં.
જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિત અને સમાજ સેવક રાજેશ પટેલે 12 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારી છે. આ સાથે બાળકોને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડમાં પ્રવેશ અપાવ્યો હતો. જે માટે ખાસ પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, શિખર, ધજા કે દેવ વગરના મંદિર એવા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. શાળામાં હાલમાં 122 મનોદિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં વધુ 12 બાળકોનો ઉમેરો થયો છે. પ અતુલ પુરોહિતે અપીલ કરી હતી કે, આપણે ઓછામાં ઓછા એક મનોદિવ્યાંગ બાળકની જવાબદારી સ્વીકારીને તેઓના વિકાસના સહભાગી થવું જોઈએ. સંસ્થા બાળકોની સારસંભાળ લે છે.
રાજકોટમાં રહેતા તાંત્રિકે વિધિના બહાને અમદાવાદના વતની અને ઓસ્ટ્રેલિયા રહેતા યુવક પાસેથી રૂ.24.23 લાખ પડાવ્યા હતા અને વધુ પૈસા પડાવવા ધમકી આપી હતી. અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા જયંતીલાલ ભુરાજી પરમાર (ઉ.વ.55)એ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદાવાડીના સતિષ રામજી ધામીનું નામ આપ્યું હતું. જયંતીલાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો મોટો દીકરો અંકિત ઓસ્ટ્રેલિયા રહે છે અને તેને પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર)ની સમસ્યા હતી તેમજ જયંતીલાલના પત્ની જયશ્રીબેનને પગમાં દુખાવો રહેતો હતો. આ બાબતે અંકિતે ઓસ્ટ્રેલિયામાં તેની સાથે રહેતા પાર્થ ચોવટિયાને વાત કરતાં તેણે રાજકોટમાં સતિષ ધામી ચમત્કારિક તાંત્રિક છે અને તેની પાસે વિધિ કરાવવાથી તમામ સમસ્યાનો અંત આવી જાય છે તેવી વાત કરતાં અંકિતે ઓસ્ટ્રેલિયાથી વિડીયો કોલ કરી તાંત્રિક સતિષ ધામીનો સંપર્ક કર્યો હતો અને સતિષ ધામીએ વિધિ માટે ખર્ચ થશે તેમ કહી પૈસાની માગ કરતાં અંકિતે રૂ.17,23,112 બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પણ સમસ્યાનો અંત નહીં આવતાં સતિષ ધામીએ વધુ પૈસા માગ્યા હતા અને ફરીથી અંકિતે રૂ.5,00,400 આપ્યા હતા, રૂ.22 લાખથી વધુ રકમ આપી દેવા છતાં કામ નહી થતાં અંકિત અને તેના માતા-પિતા સહિતનાઓ અમદાવાદથી રાજકોટ આવ્યા હતા, સતિષે ફરીથી પૈસાની માગ કરી હતી. પૈસા આપવા છતાં કામ નહી થયાનું પરમાર પરિવારે કહેતા સતિષે ધમકી આપી હતી, ધમકીથી ડરી પરમાર પરિવારે રૂ.2 લાખ પણ ચુકવ્યા હતા, જોકે બાદમાં તેમને પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં ફરિયાદ નોંધાવી હતી.
લૂંટ:રેલવે પ્લેટફોર્મ પરથી મદદના બહાને બોલાવી 7 હજારની લૂંટ
બિહારના વતની અને મેટોડામાં કારખાનામાં કામ રહેતાં મનીષ સુબોધકુમાર મંડલે (ઉ.વ.21) રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેશ કનક જાંબુકિયા અને એક અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. મનીષે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વતન બિહાર જવા માટે પોતે ગત તા.3ના સાંજે સાતેક વાગ્યે જંકશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને સામે દેખાતી અવાવરૂ જગ્યાથી ઘાસનો પૂડો ઉપાડવામાં મદદ કરવાનું કહી મનીષને લઇ ગયો હતો. બાવળની ઝાડીમાં જતાં જ તે શખ્સે પાપ પોકાર્યું હતું અને છરી કાઢી પૈસા આપી દેવા મનીષને ધમકાવ્યો હતો, તે શખ્સે મનીષ પાસેથી રોકડા રૂ.2 હજાર લૂંટી લીધા બાદ તેનો મોબાઇલ આંચકી લઇ તેના મોબાઇલમાંથી રૂ.5 હજારનું ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઘટનાથી ગભરાઇ ગયેલો મનીષ ઘરે જતો રહ્યો હતો, પોલીસે જેના બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ હતી તે બાબતે તપાસ કરતાં તે શખ્સ હિતેષ જાંબુકિયા હોવાનું ખુલતાં હિતેષ સહિત બંનેને ઉઠાવી લીધા હતા, પોલીસે આ મામલે વિશેષ તપાસ શરૂ કરી હતી.
SIR કામગીરી:10 ફેબ્રુઆરી સુધીમાં SIR કામગીરી પૂર્ણ કરવા કેન્દ્રીય રોલ ઓબ્ઝર્વરનો આદેશ
નવેમ્બર માસથી રાજ્યભરમાં SIR અંતર્ગત મતદારયાદીની ઘનિષ્ઠ સુધારણાની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાની SIRની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ આગામી તા.17 ફેબ્રુઆરીએ SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનાર હોય તા.10 પહેલા હક્કદાવા સહિતની કામગીરી પૂર્ણ કરી લેવા સૂચના આપી હતી. SIR કામગીરીની સમીક્ષામાં ત્રણેય જિલ્લાની કામગીરી રોલ ઓબ્ઝર્વરે સંતોષજનક ગણાવી હતી. રાજ્યમાં 4 નવેમ્બરથી SIR અંતર્ગત ડોર ટુ ડોર એન્યુમરેશન ફોર્મના વિતરણથી ઘનિષ્ઠ મતદારયાદી સુધારણા બાદ ડિસેમ્બર માસમાં SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી હક્કદાવા રજૂ કરવા એક મહિનાનો સમય આપવામાં આવતા રાજકોટ જિલ્લામાં 29 હજારથી વધુ મતદારોએ પોતાના નામ ઉમેરવા અરજી કરી છે. સાથે જ અનમેપ મતદારોનું મેપિંગ પણ ચાલી રહ્યું છે ત્યારે બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની સમીક્ષા કરી હતી અને આગામી તા.10 પહેલા તમામ અરજીનો નિકાલ પૂર્ણ કરવા સૂચના આપી તા.17મીએ SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવા તંત્રને તૈયાર રહેવા સૂચના આપી હતી. SIR કામગીરીને તેમને સંતોષજનક ગણાવી હતી. જેતપુર બેઠકની નબળી કામગીરી બદલ ઠપકોકેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રાએ રાજકોટ ખાતે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની SIR કામગીરીની સમીક્ષા દરમિયાન ત્રણેય જિલ્લાની કામગીરીને વખાણી હતી. જો કે, SIR કામગીરીમાં જેતપુર વિધાનસભા બેઠકની કામગીરી નબળી રહેતા રોલ ઓબ્ઝર્વર મિશ્રાએ જેતપુર બેઠકના જવાબદાર અધિકારીના ક્લાસ લઈ મીઠો ઠપકો આપ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ફાર્મર રજિસ્ટ્રેશન:રાજકોટ જિલ્લામાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ 1,52,802 ખેડૂતોનું રજિસ્ટ્રેશન
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય લાભ માટે ડિજિટલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરી બનાવી પીએમ કિશાન યોજના માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં નોંધાયેલ 2,52,251 ખેડૂતો પૈકી પીએમ કિસાન યોજના માટે એક્ટિવ 191560 લાભાર્થી ખેડૂતોમાંથી 1,52,802 ખેડૂતોની અરજી એપ્રૂવ કરવામાં આવી છે. મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88 ટકા ખેડૂતોના કેવાયસી અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે જેની સામે રાજકોટમાં 79 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઇ છે. આગામી 31 માર્ચ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી મહિનાના અંતભાગ સુધીમાં 2,52,251 ખેડૂતો પૈકી 2,09,064 ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાંથી 1,91,560 ખેડૂતોના પીએમ કિસાન યોજનાના ખાતા ચાલુ છે. રાજકોટ જિલ્લામાં સુધીમાં 152802 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં 24000થી વધુ, જસદણમાં 19 હજાર, ઉપલેટામાં 14 હજાર, જેતપુરમાં 18 હજાર, રાજકોટ તાલુકામાં 15 હજાર, જામકંડોરણામાં 13 હજારથી, પડધરીમાં 9 હજાર, વીંછિયામાં 10 હજાર, કોટડાસાંગાણીમાં 8400 અને લોધિકા તાલુકામાં 5800થી વધુ રજિસ્ટ્રેશન પૂર્ણ થતા જિલ્લામાં 79 ટકાથી વધુ નોંધણી પૂર્ણ થઇ હતી. 60 હજારથી વધુ ખેડૂતોના એકાઉન્ટ ઈન-એક્ટિવપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે રાજકોટ જિલ્લામાં નોંધાયેલ કુલ 2,52,251 ખેડૂતો પૈકી ખેડૂતો પૈકી 1,91,560 ખેડૂતોના ખાતા એક્ટિવ હોવાનું અને 60 હજારથી વધુ ખેડૂતોના ખાતા ઈન-એક્ટિવ હોવાનું જાણવા મળે છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ગ્રામ્યકક્ષાએ વીસીઇ મારફતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કર્યો છે.
પરિણીતાએ કર્યો આપઘાત:કસુવાવડના દુઃખમાં નવોઢાએ પિતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
શહેરના નાનામવામાં પિતાના ઘરે ઉત્તરાયણમાં આંટો દેવા આવેલી નવોઢાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરો શોક છવાયો હતો. થોડા જ દિવસો પહેલા કસુવાવડ થઇ જતા તેણી દુઃખી રહેતી હોય પ્રથમ સંતાનનું કોખમાં જ મૃત્યુ થતા આઘાતમાં તેણીએ આ પગલું ભર્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં કાલાવડ રોડ પ્રેમમંદિર નજીક રહેતા દિવ્યાબેન રણજીતભાઈ સોલંકી(ઉ.વ.23) નામની પરિણીતાએ નાનામવા સમુદ્રીનગર આવાસ યોજનાના ક્વાર્ટર 48/9માં રહેતા તેના પિતા હરીભાઈ મકવાણાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં સારવાર લીધા પૂર્વે જ તેણીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પીએસઆઈ આઈ.એ.બેલીમ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આપઘાત કરનાર દિવ્યાબેનના સગાભાઈ પ્રભાતે જણાવ્યા અનુસાર, તેની બહેનના આઠ માસ પૂર્વે રણજીત સોલંકી સાથે લગ્ન થયા હતા. તેણી બે બહેન અને એક ભાઈમાં સૌથી નાની હતી. ઉત્તરાયણમાં માવતરે આવી હતી. કસુવાવડ થઇ જતા માતાએ તેણીને આરામ કરવા વધુ રોકાઈ જવાનું કહ્યું હતું. માતા-પિતા અને ભાઈ કામ પર ગયા બાદ તેણીએ આ પગલું ભરી લીધું હતું. તેણીના પતિને ઓટો ગેરેજ છે જ્યારે પિતા અને ભાઈ બંને રિક્ષામાં વાસણની ફેરીઓ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પીએસઆઈ બેલીમે જણાવ્યા અનુસાર દિવ્યાને રાતે આંખમાં દેખાતું જ બંધ થઇ જતું હોય જેથી તે પરેશાન રહેતી હતી. હવે સમગ્ર બનાવમાં સત્ય શું છે અને શા માટે તેણીએ આપઘાત કર્યો? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
કેન્દ્રીય નાણામંત્રીને પત્ર:10-20ની નવી નોટ સાથે 1000-2000ની નોટ શરૂ કરો
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા છએક માસથી રૂ.10 અને રૂ.20ની ચલણી નોટની અછત સર્જાતા પાનના ગલ્લાથી લઇ પેટ્રોલપંપ, શાકમાર્કેટ, દૂધની ડેરી, રિક્ષા-બસના ભાડા ચૂકવણીમાં લોકો હાડમારી ભોગવી રહ્યા છે છતાં સત્તાધારી પક્ષ જનતાને પડતી હાડમારી અંગે હર્ફ ઉચ્ચારી રહ્યો ન હોય રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી સભ્યએ લોકોને પડતી મુશ્કેલી અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર પાઠવી ચલણી નોટની અછત દૂર કરવાની સાથે ખેડૂતો, વેપારીઓ ઉદ્યોગકારોની મુશ્કેલી નિવારવા રૂ.1000 - 2000ની ચલણી નોટ અમલી બનાવવા માંગ કરી હતી. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મનસુખ સાકરિયાએ કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં લગ્નગાળાની સિઝનમાં રૂ.10-20ની નાની ચલણી નોટને લઈ પ્રજાજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગુજરાતની પરંપરાની યાદ અપાવતા તેમને ઉમેર્યું હતું કે, લગ્નમાં વ્યવહાર કરવા માટે નાની નોટોની જરૂર પડતી હોય લોકો ચલણી નોટ માટે બેંકમાં ધક્કા ખાય છે છતાં નવી નોટ મળતી નથી. જેથી રૂ.1000 તેમજ 2000ની નોટ પણ ફરી ચલણમાં મુકવા માંગ કરી હતી.
‘જર, જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું’ ઉક્તિ આજના આધુનિક યુગમાં પણ યથાર્થ સાબિત બની રહી છે ત્યારે આવા જ એક કિસ્સામાં વીંછિયા તાલુકાના બંધાળી ગામના વતની યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા બાદ યુવતીના પિતાએ મોઢુકા અને આંકડિયા ગામની ખેતીની જમીનમાંથી બેદખલ કરી દેનાર પિતા સામે કાનૂની જંગે ચડેલી દીકરીને જસદણ ડેપ્યુટી કલેકટરે ન્યાય આપી અલગ-અલગ બે ખેતીની જમીનમાંથી હક્ક કમી કર્યા અંગેની નોંધ રદ કરવા હુકમ કરી બન્ને જમીનમાં દીકરાઓ જેટલો જ હક્ક મળે તે માટે હયાતીમાં પડેલી વારસાઈ નોંધ કાયમ રાખવા હુકમ કર્યો હતો. વીંછિયા તાલુકાના બંધાળી ગામના વતની અને હાલમાં બોટાદ જિલ્લાના વાવડી ગામે સાસરું ધરાવતા ગુલાબબેન જેસાભાઇ મેટાળિયાના પતિને ખેતી કરવા માટે ટ્રેક્ટર ખરીદ કરવું હોય પિતા જેસાભાઈને ખેતીની જમીનના 7/12 આપવા કહેતા પિતાએ કહ્યું હતું કે, તે પ્રેમલગ્ન કર્યા હોવાથી હવે ખેતીની જમીનમાં મારું અને તારા ભાઈઓનું જ નામ રાખ્યું છે. તારો અને તારા માતાનો હક્ક કમી કરી નાખવામાં આવ્યો છે. જેથી ગુલાબબેને પિતાની માલિકીની વીંછિયા તાલુકાના મોઢુકા ગામના સર્વે નંબર 216 પૈકીની 7 એકરથી વધુ જમીન અને આંકડિયા સર્વે નંબર 67 પૈકી એકની 3 એકર જેટલી જમીનમાં હક્ક કમી કર્યાની નોંધને ડેપ્યુટી કલેકટર જસદણ સમક્ષ પડકારી તેમની જાણ બહાર પિતા-ભાઈઓએ હક્ક કમી કરાવી નાખ્યો હોવાનું તેમજ 135-ડીની નોટિસ પણ બજી ન હોય ન્યાય માટે અપીલ કરતા જસદણ ડેપ્યુટી કલેક્ટર દ્વારા બન્ને પક્ષની દલીલો બાદ ગુલાબબેનની હક્ક કમી કર્યાની નોંધ રદ કરવા હુકમ કર્યો હતો.
ભરતીની લહેર:ગૌણ સેવા મંડળે 5370 જગ્યાની ભરતી જાહેર કરી, 20મી સુધી કરી શકાશે અરજી
ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3 (ગ્રૂપ-A અને ગ્રૂપ-B) ની કુલ 5370 જેટલી માતબર જગ્યાઓ માટે બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો યુવાનો જેની રાહ જોતા હતા તે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 5 ફેબ્રુઆરીને ગુરુવારથી શરૂ કરવામાં આવશે. અરજી કરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. ઉમેદવારોએ ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની લાયકાત મુજબ ગ્રૂપ-A કે ગ્રૂપ-B અથવા બંને માટે અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ રાજ્ય સરકારના અધિકૃત પોર્ટલ https://ojas.gujarat.gov.in/ પર જઈને ‘’ઓનલાઈન એપ્લિકેશન’’ વિભાગમાં જઈ પોતાની વિગતો ભરવાની રહેશે. આ ભરતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE - કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન) પદ્ધતિથી લેવામાં આવશે. જેમાં ગ્રૂપ-Aમાં મુખ્યત્વે નિર્ણય લેવાની સત્તા ધરાવતી અને સુપરવાઈઝરી જગ્યાઓ જેવી કે સમાજ કલ્યાણ નિરીક્ષક (125 જગ્યા), ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અને કલેક્ટર કચેરીના વરિષ્ઠ ક્લાર્કનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રૂપ-B માં લોઅર કેડરની વહીવટી જગ્યાઓનો સમાવેશ થાય છે. ભરતી માટેનો નવો સિલેબસ અને પરીક્ષા પદ્ધતિઆ વખતની પરીક્ષામાં ઉમેદવારોની તાર્કિક ક્ષમતા ઉપરાંત વહીવટી સૂઝબૂઝ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. મુખ્ય પરીક્ષામાં ભારતીય અર્થતંત્ર, જાહેર વહીવટ, શાસન અને નીતિશાસ્ત્ર (Ethics) જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને ગુજરાતના સામાજિક-આર્થિક માળખાને લગતા પ્રશ્નો ઉમેદવારોની લાયકાત નક્કી કરશે. ગ્રૂપ-A | સમાજ કલ્યાણ નિરીક્ષક સહિતની ભરતી ગ્રૂપ-B | જુનિયર ક્લાર્કની ભરતી
જો હજારો ફૂટની ઊંચાઈને ઉડતા વિમાનમાં બોમ્બથી ધમકી મળે ત્યારે શું થાય? જો અને તો વચ્ચેના આ સવાલ પાછળની હકીકત ખૂબ ભયંકર અને થકવી દેનારી હોય છે. તાજેતરમાં જ ટીશ્યુ પેપર પર બોમ્બની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઇટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ત્યાર પછી તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર મળીને 181 લોકો પાસેથી એક કે બે નહીં પણ 36 વખત ટીશ્યુ પેપર પર લખાણ લખાવવામાં આવ્યું. 36 વખત લખાણ કેમ? આ પાછળનું કારણ પણ ખૂબ રોચક છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે 30 જાન્યુઆરીની સવાર ખૂબ અસામાન્ય હતી. સાડા છ વાગ્યાની આસપાસનો સમય હતો ત્યારે ATCને મેસેજ મળ્યા અને દોડધામ મચી ગઈ. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી. એટલે આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાનને તાત્કાલિક અમદાવાદ તરફ ડાયવર્ટ કરવાનો આદેશ અપાયો. ATCના અધિકારીઓ તેમજ સિક્યોરિટી ટીમના શ્વાસ અધ્ધર હતા. બરાબર સવારે 6 વાગીને 39 મિનિટે વિમાને રનવે પર લેન્ડ કર્યું. પણ લેન્ડિંગ પછીની પ્રક્રિયા બીજી ફ્લાઇટ કરતા એકદમ અલગ હતી. પ્રોટોકોલ મુજબ વિમાનને તરત જ મુખ્ય ટર્મિનલથી દૂર 'આઈસોલેશન 2' પર લઈ જવામાં આવ્યું. તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બીજી તરફ મિટિંગનો ધમધમાટ શરૂ થયો. ટર્મિનલ-1 પર સવારે 7 વાગીને 17 કલાકે BTACની ઇમરજન્સી મીટિંગ મળી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને આ ઘટનાને 'સ્પેસિફિક થ્રેટ' જાહેર કરવામાં આવી. ઇન્ડિગોના સિક્યોરિટી એક્ઝિક્યુટિવ લલિત પાપડે હવે ધબકતા હૈયે 'આઈસોલેશન 2' પાસે ઉભેલા વિમાન પાસે પહોંચ્યા. સીડી મુકાઈ, દરવાજો ખુલ્યો અને કેપ્ટન આકાશ અગ્રવાલ સાથે તેમની મુલાકાત થઈ. કેપ્ટન આકાશના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે લલિતભાઈને એ વસ્તુ સોંપી જેણે 6 ક્રુ મેમ્બર અને 175 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા… સફેદ રંગનું એક ટિશ્યુ પેપર. આ ટિશ્યુ પેપર ફ્લાઇટની ઇન્ચાર્જ ઉર્વશીને સીટ નંબર 14-D નીચેથી મળ્યું હતું. તેના પર લીલી પેનથી અંગ્રેજીમાં લખેલા શબ્દો કોઈ પણ વ્યક્તિને હચમચાવી નાખે એવા હતા. “Hy Jack p bomb Blast 28,6729N 77.2295E” કેપ્ટન આકાશ અગ્રવાલ અને કો-પાયલોટ અનુષા જૈને જ્યારે આ લખાણ જોયું ત્યારે તેમની પાસે વિમાનને શક્ય હોય એટલા વહેલા સુરક્ષિત જમીન પર ઉતારવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હોવાની જાણ એરપોર્ટ પોલીસ સ્ટેશને પણ કરવામાં આવી હતી. સેકન્ડ પી.આઈ. ડિમ્પલબેન પટેલ પોતાની ટીમ સાથે એરપોર્ટ પહોંચી ચૂક્યા હતા. વિમાનમાં સવાર 175 મુસાફરોને સાવચેતીપૂર્વક નીચે ઉતારી ટર્મિનલ-2ના અરાઈવલ હોલમાં લઈ જવામાં આવ્યા. આ વખતે પણ દરેક મુસાફરની આંખમાં ડર હતો. બોમ્બ સ્ક્વોડ અને સિક્યોરિટી એજન્સીઓએ વિમાનનો ખૂણેખૂણો ફંદી માર્યો. તમામ પેસેન્જરોનું કડક સ્ક્રીનિંગ થયું. કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું પણ ન તો કોઈ બોમ્બ મળ્યો, ન કોઈ વિસ્ફોટક. તો સવાલ એ ઉભો થયો કે ટીશ્યું પણ ધમકીભર્યું લખાણ કોણે લખ્યું? આ સવાલનો જવાબ મેળવવા માટે હવે વૈજ્ઞાનિક પદ્ધતિ જ અપનાવવી પડે એમ હતી. એટલે પીઆઈ ડિમ્પલબેન પટેલે ધમકીના લખાણવાળું ટિશ્યુ પેપર કબજે કર્યું અને આ લખાણ કોણે લખ્યું એ જાણવા માટે ફ્લાઇટના કેપ્ટન, પાયલટ, ક્રૂ મેમ્બર્સ અને તમામ 175 મુસાફરોના હસ્તાક્ષરના નમૂના લેવાની પ્રક્રિયા શરૂ થઈ. દરેક વ્યક્તિના અક્ષરોની સરખામણી ધમકીના લખાણ સાથે કરવાની હતી. સવારના સાડા છ વાગ્યાથી શરૂ થયેલો આ ઘટનાક્રમ છેક સાંજ સુધી ચાલ્યો. આખરે, જ્યારે ખાતરી થઈ ગઈ કે વિમાન સુરક્ષિત છે, ત્યારે સાંજે 7 વાગીને 9 મિનિટે ફ્લાઇટને દિલ્હી જવા રવાના કરવામાં આવી. મુસાફતો તો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા પરંતુ કેસ હજુ પૂરો થયો નહોતો. સિક્યોરિટી એક્ઝિક્યુટિવ લલિત પાપડેની ફરિયાદના આધારે અમદાવાદના એરપોર્ટ પોલીસે તપાસ આગળ વધારી. એરપોર્ટ પોલીસ મથકના સેકન્ડ પી.આઇ. ડિમ્પલબેન પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું, ફલાઇટમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરો મળીને કુલ 181 લોકો સવાર હતા. તેમની પૂછપરછ કરીને નિવેદનો લેવામાં આવ્યા હતા. તમામ ક્રૂ મેમ્બર અને મુસાફરોના હસ્તાક્ષરના 36-36 નમૂના લેવામાં આવ્યા હતા. આ રીતે 181 વ્યક્તિઓના મળીને કુલ 6 હજારથી વધુ નમૂનાઓ એકત્ર થયા હતા. એક જ વ્યક્તિના 36 નમૂનાઓ શા માટે લેવામાં આવે છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં ડિમ્પલબેને જણાવ્યું કે, જ્યારે એક જ લખાણ વારંવાર લેવામાં આવે ત્યારે હસ્તાક્ષરની મૌલિકતાની ચોકસાઈપૂર્વક ચકાસણી થઈ શકે તે હેતુથી 36 વખત નમૂના લેવામાં આવે છે. આ નમૂનાઓને ચકાસણી માટે DFS એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં એરપોર્ટ પર ફ્લાઇટમાં કુલ 10 વખત આ પ્રકારની ધમકીઓ મળી છે. જેમાંથી 5 ધમકીઓ ટીશ્યુ પેપર પર લખેલી હતી, જ્યારે 4 ધમકીઓ ઇ-મેઇલ દ્વારા અને એક ધમકી મોબાઈલ ફોન મારફતે મળી હતી. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે ટીશ્યુ પેપર પર ધમકીભર્યું લખાણ મળે છે ત્યારે દરેક કેસમાં આ જ પ્રક્રિયા અનુસરવામાં આવે છે. હવે DFSનો રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા કરી શકાશે. ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના હેન્ડ રાઈટિંગ વિભાગના મદદનીશ નિયામક અજીતસિંહ સોલંકીએ કહ્યું, અમે 36 નમૂના એટલા માટે લઈએ છીએ કે તેના દ્વારા તકરારી લખાણની સચોટ સરખામણી થઈ શકે. જો લખાણના 36 નમુના હોય તો તેની અંદર રહેલી લેખન લાક્ષણિકતાઓ એટલે કે રાઇટિંગ કેરેક્ટરિસ્ટિક વ્યવસ્થિત રીતે તપાસી શકાય છે. જો કોઈ વ્યક્તિ લખાણમાં ફેરફાર કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે તો તેવા લક્ષણો પણ અમે પકડી શકીએ છીએ. મૂળભૂત લખાણની લાક્ષણિકતાઓ તપાસવા માટે જ અમે ઓછામાં ઓછા 36 નમૂના લઈએ છીએ. 34, 35 કે 37 નહીં પણ 36 નમૂના જ કેમ લેવામાં આવે છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, 36 પેરામીટર્સ અમે એટલા માટે સેટ કરીએ છીએ કે લખાણનું આટલું ન્યૂનતમ પ્રમાણ હોય તો તેમાંથી જરૂરી લેખન લાક્ષણિકતાઓ મળવાની પૂરી શક્યતા રહે છે. જો નમૂના વધારે હોય તો તે વધુ સારું છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “રિપોર્ટ મળવાનો સમય અહીં દસ્તાવેજોની પેન્ડન્સી અને અગાઉના પડતર કેસો પર આધાર રાખે છે. તેમ છતાં જો ગુનો ગંભીર પ્રકારનો હોય તો વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ આપી દઈએ છીએ.” અગાઉ પણ ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર બોંબની ધમકી અંગેના લખાણો મળ્યા હોય અને તેમાં રિપોર્ટ આપ્યો હોય તેવા કિસ્સાઓ વિશે પૂછતા તેમણે કહ્યું કે, તે પ્રકારના અગાઉ ત્રણ ગુનાઓ બન્યા હતા જેમાં અમે હેન્ડ રાઈટિંગ અંગેનો અભિપ્રાય આપ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, “રિપોર્ટ કેટલા સમયમાં આવશે તે ડોક્યુમેન્ટ પર નિર્ભર કરે છે. અગાઉ 240 પેસેન્જરનું લખાણ આવ્યું તેમાં વધારે સમય લાગ્યો હતો. આ કેસમાં તમામ પેસેન્જરોના 36-36 નમૂના અને અન્ય લખાણો તપાસવાના હોવાથી લગભગ 3થી 4 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે. કારણ કે, અમારી પાસે એટ્રોસિટી, પોક્સો, મર્ડર તેમજ સ્યુસાઇડ જેવા અન્ય કેસોની તપાસ પણ ચાલતી હોય છે. ગુનાની ગંભીરતા મુજબ અમે તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.” એક પ્રશ્નના જવાબમાં તેમણે ઉમેર્યું કે, “આ પ્રક્રિયામાં લખાણ કઈ સપાટી એટલે કે સરફેસ પર લખાયેલું છે તે પણ ખૂબ મહત્વનું છે. તેથી જે પ્રકારની વસ્તુ અને સપાટીનો ઉપયોગ થયો હોય તેના પર જ નમૂના લેવાનો પ્રયાસ હોય છે. આથી જ અમે ટીશ્યુ પેપર પર જ લખાણના નમૂના લઈએ છીએ. જે પ્રકારના કાગળનો ઉપયોગ થયો હોય તેના પર જ નમૂના લેવા તે વધુ યોગ્ય છે.”
ધોરણ-12 સાયન્સની વાર્ષિક પરીક્ષા પૂર્વે આજથી પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં આજથી શિક્ષણ જગતનો ‘મહાકુંભ’ શરૂ થયો હોય તેમ કુલ 19,032 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના જુદા-જુદા વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા આપશે. આ પરીક્ષા આગામી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે, ત્યારબાદ 17મીથી CBSE બોર્ડની પરીક્ષા અને 26મીથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની લેખિત પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને પરીક્ષાનું આયોજન બે શિફ્ટમાં કરવામાં આવ્યું છે. પ્રથમ પાળી સવારે 10 થી 1 વાગ્યા સુધી અને બીજી પાળી બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન યોજાશે. બોર્ડ દ્વારા ઝોનલ કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. શહેરમાં 14 અને ગ્રામ્યમાં 8 કેન્દ્ર પર પરીક્ષા રાજકોટ જિલ્લામાં કુલ 22 પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજકોટ શહેરમાં 14 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. જ્યારે ગ્રામ્યમાં ધોરાજીમાં સૌથી વધુ 4 કેન્દ્ર, ગોંડલમાં 2, જેતપુરમાં 1 અને જસદણમાં 1 કેન્દ્ર પર પ્રાયોગિક પરીક્ષા આપશે. GSEB : ધો.10-12માં 78,390 વિદ્યાર્થી પરીક્ષા આપશે, 308 બિલ્ડિંગ, 2753 બ્લોકમાં વ્યવસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ બોર્ડ પરીક્ષાની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈને પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટ જિલ્લામાં ધોરણ-10માં આશરે 47,500 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ-12 કોમર્સમાં 23,200 અને ધોરણ-12 સાયન્સમાં 7690 વિદ્યાર્થી પરીક્ષા આપવાનો અંદાજ છે. કુલ 308 બિલ્ડિંગ અને 2,753 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ધોરણ-10માં કુલ પાંચ ઝોન નક્કી કરાયા છે, જેમાં ત્રણ ઝોન રાજકોટ શહેરમાં, એક ઝોન ધોરાજીમાં અને એક ઝોન જસદણમાં નિયત કરવામાં આવ્યો છે. ધોરણ 12માં પરીક્ષા માટે પણ કુલ પાંચ ઝોન નક્કી કરાયા છે. આમાં પણ શહેરમા ત્રણ, ધોરાજીમાં એક અને જસદણમાં એક ઝોનનો સમાવેશ થાય છે. CBSE : ધો.10ની પરીક્ષા 10 માર્ચ સુધી, ધો.12ની 9 એપ્રિલ સુધી ચાલશે, હેલ્પલાઈન પણ શરૂ કરાઇકેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષાઓનો પ્રારંભ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ થશે. ડેટશીટ પરીક્ષાઓ શરૂ થવાના લગભગ 110 દિવસ પહેલાં જાહેર કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પૂરતો સમય મળે અને તેઓ પરીક્ષાના તણાવમાંથી મુક્ત થઈને પોતાનું પ્રદર્શન સુધારી શકે તેવો હતો. રાજકોટમાં આશરે 8થી 10 હજાર વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ 10 માર્ચ, 2026 સુધી ચાલશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ 9 એપ્રિલ, 2026 સુધી યોજાશે. બંને ધોરણોની પરીક્ષાઓ એક જ પાળીમાં લેવામાં આવશે. પરીક્ષાના તણાવથી પરેશાન વિદ્યાર્થીઓને રાહત આપવા માટે CBSEની ટેલી-કાઉન્સેલિંગ સેવા સજ્જ છે. CBSE દ્વારા ‘સાયકો સોશિયલ કાઉન્સેલિંગ’ શરૂ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ 01 જૂન સુધી ટોલ ફ્રી નંબર 1800-11-8004 પર સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી મેળવી શકે છે. કયા વિષયમાં કેટલા વિદ્યાર્થી
નુક્કડ નાટક દ્વારા લોક જાગૃતિનો પ્રયાસ:રેલવે કર્મચારીઓએ નુક્કડ નાટક ભજવી જાગૃતિ ફેલાવી
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ મુસાફરોને યોગ્ય ટિકિટ લઈને મુસાફરી કરવા તથા ડિજિટલ રેલવે સેવાઓ અપનાવવા પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી સાથે તા.28 જાન્યુઆરીથી શરૂ કરાયું અને તા.6 ફેબ્રુઆરી, 10 દિવસ સુધી ‘મેરી ટિકિટ, મેરી શાન–વિકસિત ભારત માટે મારું યોગદાન’ જન-જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રેલવે કર્મચારીઓ દ્વારા નુક્કડ નાટકનું ભજવ્યું. જેમાં ટિકિટ વગર મુસાફરી કરવાના દુષ્પરિણામો અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાના મહત્વને રજૂ કર્યું. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે આયોજિત ચિત્રકલા અને સ્લોગન લેખન સ્પર્ધાના વિજેતાઓને મેયર, DRM અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર દ્વારા મેરિટ પ્રમાણપત્ર અને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે શહેરની સેવાકીય સંસ્થા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે એક સાહસિક ઇવેન્ટ કરવામાં આવે છે. જેમાં સંસ્થાના 14 વોરિયર્સ આ વર્ષે જૂનાગઢ સ્થિત ગિરનાર પર્વત ચઢી અન્યને હિંમત તથા પ્રેરણા મળી તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા 12 લોકો સફળતાપૂર્વક ગિરનારના 5000 પગથિયાં ચઢી મા અંબેના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે ફાઉન્ડેશનના પ્રમુખ અશ્વિનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, આ સાહસિક ઇવેન્ટમાં જે સભ્યો સફળતાપૂર્વક ગિરનાર ચઢી જશે તે તમામ સપ્ટેમ્બર માસમાં એવરેસ્ટ બેઇઝ કેમ્પ (ઇ.બી.સી.)માં મનાલી ટ્રેકિંગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે. કેન્સર વોરિયરને સ્વિમિંગ પૂલ પર ફ્રી મેમ્બરશીપરાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એશોશિયેશનના પ્રમુખ ઉમેશભાઇ રાજ્યગુરુ, સેક્રેટરી બંકિમભાઇ જોશી દ્વારા અનોખી પહેલ. કેન્સર દિવસ નિમિતે જાહેરાત કરાઇ કે, સંસ્થાના સભ્યો કેન્સર વોરિયર્સને RDSA સ્વિમિંગ પૂલ પર ફ્રી મેમ્બરશીપ અપાશે. ફાઉન્ડેશન દ્વારા જે કેન્સર વોરિયરને પ્રમાણીત કરવામાં આવશે તેને જ આ લાભ મળશે.
સિદ્ધિ:ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરને આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત
લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત ત્રિદિવસીય LIBF બિઝનેસ એક્સ્પો–2026 દરમિયાન, મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા વિશેષ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં રાજકોટના ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરને એક ખાસ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વિશેષ આંતરરાષ્ટ્રીય એવોર્ડ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં તબીબી ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ સેવાઓ, જીવ બચાવતી જટિલ સર્જરીઓને સફળતાપૂર્વક પાર પાડવાની સિદ્ધિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવતાવાદી અભિગમ બદલ આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ભવ્ય LIBF એક્સ્પોમાં વિશ્વના 35થી પણ વધુ દેશમાંથી બહોળી સંખ્યામાં રઘુવંશીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજીના પત્ની અમૃતા ફડણવીસજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી તા. 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન ગિરનારની ગોદમાં યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે. મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગિરનાર તળેટીના મેળામાં જવા માટે રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમે એક્શન પ્લાન ઘડ્યો છે. રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે ખાસ 30 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. આ સુવિધા રાજકોટના મુખ્ય બસ સ્ટેન્ડ સહિત જિલ્લાના કુલ 9 ડેપો પરથી ઉપલબ્ધ કરાવાશે. દર વર્ષે શિવરાત્રીના મેળામાં રાજકોટથી જૂનાગઢ જવા જો મુસાફરોની સંખ્યા વધશે તો ઓન-ધ-સ્પોટ વધુ બસોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. મેળા દરમિયાન મુસાફરોને બસના રૂટ અને સમયની જાણકારી મળી રહે તે માટે દરેક ડેપો પર ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે. રાત્રિના સમયે પણ મુસાફરોને પરિવહનની તકલીફ ન પડે તે માટે ‘રાઉન્ડ ધ ક્લોક’ બસો દોડાવવાનું આયોજન છે. ક્યાં ડેપોમાંથી કેટલી બસ મુકાશે જૂનાગઢથી પણ વધારાની બસ મુકાશેજૂનાગઢથી પરત આવવા માટે પણ ભવનાથ તળેટી અને જૂનાગઢ ડેપો ખાતેથી રાજકોટની બસો સતત ઉપલબ્ધ રહેશે. મેળાના સમયે ખાનગી વાહનચાલકો ડબલ-ત્રણ ગણા ભાડા વસૂલતા હોય છે. એસ.ટી.ની આ એક્સ્ટ્રા બસોને કારણે શ્રદ્ધાળુઓ સસ્તા દરે સુવિધા મળશે. સામાન્ય રીતે મેળાના દિવસોમાં ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ અને ખાનગી વાહનોમાં પાંચ ગણા ભાડાની વસૂલાતને કારણે મધ્યમવર્ગના મુસાફરો મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે એસ.ટી.ની આ વધારાની સર્વિસ શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
રાજકોટના નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ માધવ હોટેલ પાસે મંગળવારે સાંજે સરાજાહેર યુવકની હત્યા કરવામાં આવી હતી. ભોગ બનનાર નિલેશ આરોપી મહેશની પરણેલી બહેન સાથે આડસંબંધો ધરાવતો હતો. જેની બે મહિના પૂર્વે બનેવીને જાણ થઇ જતા આરોપીની બહેન-બનેવી વચ્ચે માથાકૂટ થતી હતી. જેથી બહેનના પ્રેમીની હત્યા કરી નાખવાનું ઝનૂન માથા પર સવાર થતા આરોપીએ યુવકને સતત આઠ વખત કોલ કર્યા હતા, પણ સરખો જવાબ ન પ્રાપ્ત થતા પોતે નિલેશને તેના કામના સ્થળેથી સમાધાનનું કહી તેડી લાવ્યો હતો. એમ્બ્રી પથ્થર વડે જાતે જ બનાવેલી છરીથી બહેનના પ્રેમીને રહેંસી નાખ્યા બાદ આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. પોતાને સહેજ પણ અફસોસ નહિ હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે. નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ માધવ હોટલ પાસે મંગળવારે સાંજે સરાજાહેર અંકુર રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા નિલેશ હરિભાઇ ધોકિયા (ઉં.વ.43)નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ. હરીપરાએ તપાસ હાથ ધરી મહેશ દિનેશભાઇ જેઠવા(રહે, મૂળ ખોરાસા ગીર, તા. માળિયાહાટીના, હાલ ન્યૂ 150 ફૂટ રિંગ રોડ કોરાટ ચોક રાજકોટ) સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મહેશે બહેનના પ્રેમીની હત્યા કરી જાતે જ ગાંધીગ્રામ પોલીસ મથકમાં સરેન્ડર કર્યું હતું. હત્યાનો બનાવ તાલુકા પોલીસ મથક વિસ્તારનો હોવાથી આરોપીને રાજકોટ તાલુકા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આરોપીએ હત્યાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, બહેનના પ્રેમી નિલેશને અસંખ્ય વાર સમજાવવા છતાય તે મારી બહેનને સબંધ રાખવા માટે દબાણ કરતો હતો. બે મહિનાથી બહેન-બનેવી વચ્ચે માથાકૂટ થતી હોય પોતે સોમવારે બહેનના ઘરે ગયો ત્યારે પણ બહેન-બનેવી ઝઘડો કરતા હતા. અંતે પોતે નિલેશની હત્યા પૂર્વે આઠેક વાર તેને કોલ કર્યા પણ જવાબ સરખો ન મળતા પોતે નિલેશને તેના કામના સ્થળે જઈ તેડી આવ્યો હતો. પોલીસે આરોપીનું વાહન, હથિયાર અને કપડા કબજે કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવા કામગીરી હાથ ધરી છે. યુવાનની હત્યા કર્યા બાદ આરોપીની પોલીસ સમક્ષ કબૂલાત
300 પરિવારો દૂષિત પાણીથી થયા ત્રસ્ત:માધાપર પાસેની બે સોસાયટીમાં દુષિત પાણી વિતરણ થતાં દેકારો
રાજકોટના જામનગર રોડ પર અવધ સોસાયટી અને વિનાયક વાટિકામાં ફીણવાળું પાણી વિતરણ કરાતા રહીશોમાં દેકારો બોલી ગયો છે અને આ વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ ફેલાતા કમિશનર સમક્ષ પણ લેખિત રજૂઆત કરાઇ છે તેમજ વોર્ડ નં.3ના ચારેય કોર્પોરેટરોને પણ રજૂઆત કરાઇ છે. આમ છતાં ફીણવાળા પાણીની સમસ્યા ઉકેલાઇ નથી. માધાપર ચોકડી નજીક અવધ સોસાયટી અને વિનાયક વાટિકામાં અંદાજે 300થી વધુ પરિવારો રહે છે અને છેલ્લા ઘણા સમયથી ફીણવાળું પાણી આવતું હોય સ્થાનિક રહીશોને કેમિકલયુક્ત પાણી અપાતું હોવાની આશંકા સેવાઇ રહી છે અને તેના પરિણામે રોગચાળો ફેલાવવાની ભીતિ છે. આ મુદ્દે વિનાયક વાટિકા અને અવધ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે કમિશનર ઉપરાંત સિટી એન્જિનિયર દેથરિયાને પણ ફરિયાદ કરી હતી. તેઓએ નાયબ ઇજનેર પાર્થ પરમારને જાણ કરવા કહેતા તેમને જાણ કરાઇ હતી અને તેમની ટીમે ખાડા ખોદીને ચેક કર્યું પરંતુ ફોલ્ટ મળતો ન હોય છેલ્લા 10 દિવસથી ગંદા પાણી પીવા લોકો મજબૂર થયા છે.
અધધ.. ગેસ ટેન્કરે પલટી ખાધી: પુણે હાઈવે 24 કલાક જામ
- હજારો લોકોએ આખી રાત કડકડતી ઠંડીમાં હાઈવે પર વિતાવી - ભૂખ-તરસથી લોકો બેહાલ: શૌચાલયના અભાવે કફોડી સ્થિતિ: ગેસ લીકેજ બંધ કરવા એનડીઆરએફ તથા ઓઈલ કંપનીઓની મદદ લેવાઈ: જૂનો હાઈવે પણ જામ મુંબઈ : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિભાગમાં ગઈકાલે મોડી સાંજે એક ગેસ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેમાંથી ગેસ લીકેજ થવાના કારણે ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક ખોરવાયો હતો.હજારો વાહનો આ ટ્રાફિક જામમાં અટવાઈ ગયાં હતાં. કાર, બસ સહિતના વાહનોમાં પ્રવાસ કરતા હજારો લોકોએ મંગળવારની આખી રાત ઘાટ વિસ્તારમાં કડકડતી ઠંડીમાં ભૂખ્યા તરસ્યા વિતાવી હતી. ખોરાક, પાણી વિના લોકો ટળવળ્યા હતા.
સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત મંગળવારે તાપી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગે આરોગ્ય વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો સુધી લેપ્રસી અંગે જાગૃતિ પહોંચે તે માટે અસરકારક આઈઈસી અભિયાન હાથ ધરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા તેમજ લેપ્રસી વિભાગના ડો. રોહિત ભિંગરાડિયા સહિત સંબંધિત અધિકારીઓ પાસેથી સ્પર્શ અભિયાન અંતર્ગત કરવામાં આવતી કામગીરીની વિગતવાર માહિતી કલેક્ટરે મેળવી હતી. જેમાં ડોર ટુ ડોર સર્વે, શંકાસ્પદ કેસોની ઓળખ અને તપાસ, તેમજ સારવાર માટેની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર ડો. વિપીન ગર્ગે જણાવ્યું હતું કે લેપ્રસી અંગે ભ્રાંતિ દૂર કરવા માટે જાગૃતિ અભિયાન અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેક ગામ સુધી સચોટ માહિતી પહોંચે તે દિશામાં આરોગ્ય વિભાગે સતત પ્રયત્નો કરવા જોઈએ. બેઠકમાં જિલ્લા સમન્વય સમિતિના સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ દ્વારા હોદ્દેદારોની વરણી કરાઈ:તાપી જિલ્લામાં ભાજપના સંગઠનાત્મક માળખાની જાહેરાત
કેટલાક દિવસોથી તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક માળખાને લઈને રાજકીય અને કાર્યકર્તા સ્તરે ચર્ચાઓ તથા અટકળો ચાલી રહી હતી, જેનો અંત આજે સત્તાવાર જાહેરાત સાથે આવી ગયો છે. પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા બાદ તાપી જિલ્લાના પ્રમુખ સુરજ વસાવાએ વિવિધ હોદ્દેદારો, મોરચા અને વિભાગીય જવાબદારીઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે. તાપી જિલ્લા સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે યુવરાજભાઈ દગાજીરાવ મરાઠે (કુકરમુંડા), પ્રિતમભાઈ અજબસિંહ નાઇક (નિઝર), રૂવિશભાઈ ફત્યાભાઈ ગામીત (ઉચ્છલ), અનિલભાઈ રમણભાઈ ચૌધરી (ઉકાઈ), વિરલભાઈ શંકરભાઈ કોકણી (વ્યારા નગર), રસિકભાઈ છેતરીયાભાઈ કોકણી (ડોલવણ), સુનિતાબેન રમેશભાઈ ગામીત (વ્યારા તાલુકો) અને વૈશાલીબેન દિપેશભાઈ રાણા (વ્યારા નગર)ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા મહામંત્રી તરીકે અમિતભાઈ નટવરલાલ પટેલ (વાલોડ તાલુકો), નિખીલભાઈ ભીખુભાઈ શેઠ (સોનગઢ નગર), મૃણાલભાઈ યજ્ઞેશભાઈ જોષી (વ્યારા નગર), લક્ષ્મણભાઈ મગનભાઈ પાડવી (કુકરમુંડા તાલુકો) અને ટપુભાઈ હોથીભાઈ ભરવાડ (સોનગઢ નગર)ને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા મંત્રી તરીકે અર્જુનભાઈ લાલજીભાઈ ગામીત (સોનગઢ તાલુકો), કુમુદબેન રસિકભાઈ ચૌધરી (ડોલવણ તાલુકો), અર્ચનાબેન સુરેન્દ્રભાઈ વસાવા (ઉચ્છલ તાલુકો), નિતાબેન સુરજીભાઈ વળવી (નિઝર તાલુકો) અને મીરાબેન મગનભાઈ વસાવા (ઉકાઈ તાલુકો)ની નિમણૂક કરાઈ છે. કોષાધ્યક્ષ તરીકે અરુણાબેન દિલીપભાઈ ગામીત (વ્યારા તાલુકો) તથા કાર્યાલય મંત્રી તરીકે રવિન્દ્રભાઈ ઉદયનાથ દુબે (સોનગઢ તાલુકો) અને વાસવભાઈ નિતીનભાઈ દેસાઇને જવાબદારી અપાઈ છે. સોશિયલ મીડિયા વિભાગમાં ચકીનભાઈ વિશ્વાસભાઈ દેસલે (વ્યારા નગર), આઈ.ટી. વિભાગમાં સ્વપ્નિલભાઈ રાજેશભાઈ વ્યાસ (સોનગઢ નગર) અને મીડિયા વિભાગમાં નરેન્દ્રભાઈ ભગુભાઈ ભુવિચિત્રા (વ્યારા નગર)ની નિમણૂક કરવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે વિશાલભાઈ ભગુભાઈ પટેલ (વ્યારા નગર) અને મહામંત્રી તરીકે કેતનભાઈ બિપીનભાઈ નાઇક (ઉચ્છલ તાલુકો) તથા શુભમભાઈ મયંકભાઈ જોષી (સોનગઢ નગર)ને જવાબદારી સોંપાઈ છે. મહિલા મોરચામાં કલ્પનાબેન નિલેશભાઈ મિસ્ત્રી (વાલોડ તાલુકો)ને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે મનિષાબેન કાર્તિકભાઈ દેસાઇ (વ્યારા નગર) અને યોગિતાબેન અમૃતભાઈ વળવી (કુકરમુંડા તાલુકો)ને મહામંત્રી તરીકે નિમણૂક અપાઈ છે. કિસાન મોરચામાં મણીલાલભાઈ પુનાભાઈ પટેલ (નિઝર તાલુકો) પ્રમુખ અને જયમિનભાઈ દિલીપભાઈ વસાવા (ઉકાઈ તાલુકો) તથા શૈલેષભાઈ વીરસિંગભાઈ પટેલ (ડોલવણ તાલુકો) મહામંત્રી તરીકે જવાબદારી સંભાળશે. ઓબીસી મોરચામાં અશોકભાઈ ઠાકોરલાલ રાણા (સોનગઢ નગર) પ્રમુખ અને રવિન્દ્રભાઈ કાલુભાઈ તંબોલી (નિઝર તાલુકો) મહામંત્રી તરીકે નિયુક્ત થયા છે. અનુસૂચિત જાતિ મોરચામાં રાકેશભાઈ દોલતભાઈ મહાલે (વ્યારા નગર) પ્રમુખ તથા કૌશિકભાઈ વસંતભાઈ કેદાર (સોનગઢ નગર) અને ધર્મપાલભાઈ મિલિન્દભાઈ સાળવે (નિઝર તાલુકો) મહામંત્રી તરીકે નિમાયા છે. અનુસૂચિત જનજાતિ મોરચામાં કિશનભાઈ ઠગીયાભાઈ ગામીત પ્રમુખ અને મનિષભાઈ પ્રકાશભાઈ વસાવા (ઉકાઈ તાલુકો) તથા જયદીપભાઈ જયરામભાઈ ગાવિત (ડોલવણ તાલુકો) મહામંત્રી તરીકે જવાબદારી સંભાળશે. લઘુમતી મોરચામાં મોબીનભાઈ શકીલ અંસારી (સોનગઢ નગર) પ્રમુખ તથા મુશરફભાઈ અબ્દુલ રઝાક કુરેશી (વ્યારા નગર) અને તોસિફભાઈ હકીમ કુરેશી (ઉચ્છલ તાલુકો)ને મહામંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે.આ નવી સંગઠનાત્મક રચનાથી તાપી જિલ્લામાં ભાજપના સંગઠનને નવી ઊર્જા મળશે અને આવનારા સમયમાં રાજકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.
350 લોકોએ કરાવ્યું સ્વાસ્થ્યનું ચેકઅપ:ચુનાવાડીમાં એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા મેગા મેડિકલ કેમ્પ
સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાપી જિલ્લાના ગામડાઓમાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના દીપકભાઈ મહેતા દ્વારા તાપી જિલ્લાના ચૂનાવાડી ગામ ખાતે ગરીબ અને જરૂરતમંદ લોકો માટે મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પ માં અંદાજે 350 લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવ્યુ હતું. આ કેમ્પમાં લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવા મળી રહે તે માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરો હાજર રહ્યા હતા, જેમાં જનરલ ફિઝિશયન, આંખના ડોક્ટર, દાંતના ડોક્ટર, ચામડીના ડોક્ટરનો સમાવેશ થાય છે. અહી ECG મશીન પણ મૂકવામાં આવેલ હતુ. ખાસ કરીને આંખની તપાસ બાદ લોકોને વિના મૂલ્યે નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી લોકોને ઘણી રાહત થઈ હતી. આ મેડિકલ કેમ્પનુ એથર ઈન્ડસ્ટ્રીઝના દિપકભાઈ મહેતા દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પ ચૂનાવાડીના જંગલમાં યોજવા બદલ લોકોએ એથર ઈન્ડસ્ટ્રીઝનો આભાર વ્યક્ત કર્યો હતો. એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભવિષ્યમાં પણ આવા દુર્ગમ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ કરવા માટેની પ્રતિબદ્ધતા બતાવવામાં આવી. વનરાજ આશ્રમશાળા, ચૂનાવાડીમાં એથર ઈન્ડસ્ટ્રીઝ, સુરત નવી સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ કરી રહી છે.
વ્યારા નગરના હાર્દ સમાન રામ તળાવ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલો મહત્વાકાંક્ષી વોટર પાર્ક પ્રોજેક્ટ હાલ સ્થાનિકો માટે આશીર્વાદને બદલે અભિશાપ બની ગયો છે. તળાવમાં ભરાયેલા સ્થગિત ગંદા પાણી અને કચરાના ઢગને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. પાલિકાના અધૂરા આયોજને કારણે જનતાનું આરોગ્ય જોખમાયું હોવાના આક્ષેપો થયા છે. વ્યારા નગરપાલિકાએ જ્યારે રામ તળાવમાં વોટર પાર્કની જાહેરાત કરી ત્યારે નગરજનોમાં ઉત્સાહ હતો, પરંતુ કામગીરી અધવચ્ચે જ ખોરંભે પડતા હવે અહીં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તળાવના ક્યારામાં જામી ગયેલી લીલ અને જંગલી વનસ્પતિને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે. તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવાની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર ન કરાતા રહેવાસીઓમાં રોષ વ્યાપ્યો છે.જો નગરપાલિકા તાત્કાલિક અસરથી તળાવની સફાઈ નહીં કરાવે અને ગંદા પાણીનો નિકાલ નહીં કરે, તો આગામી દિવસોમાં સ્થાનિકો ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા છે. રાત્રે સૂતી વખતે અને બાળકોને આ વિસ્તારમાં બહાર રમવા મોકલતી વખતે સાવચેતી રાખવી. જો શક્ય હોય તો રહેણાંક વિસ્તારની આસપાસ પાણી ભરાવા ન દેવું અને જો જંતુનાશક દવાનો છંટકાવ ન થયો હોય તો પાલિકામાં રજૂઆત કરવી. તળાવની આસપાસ જતી વખતે માસ્કનો ઉપયોગ કરવો જેથી દુર્ગંધથી બચી શકાય અને આરોગ્યપ્રદ ખોરાક લેવો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં થયેલા હંગામાને લઈને રહ્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂર્વ સેના અધ્યક્ષ નરવણેનું પુસ્તક લઈને પહોંચ્યા. બીજા મોટા સમાચાર સેનાએ આતંકીઓની ગુફા ઉડાવી દીધી તેના વિશેના રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસે રહેશે. 2. સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની ભારતની છ દિવસીય રાજકીય યાત્રા પર આવશે. કાલના મોટા સમાચારો 1. SIR મુદ્દે મમતા બોલ્યા- EC બંગાળને નિશાન બનાવી રહ્યું છે:નામ મિસમેચ પર અપાયેલી નોટિસ પાછી ખેંચવામાં આવે; પ્રથમ વખત કોઈ CM એ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી સુપ્રીમ કોર્ટે બુધવારે પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મામલે સુનાવણી કરી. આ સુનાવણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે વકીલોની સાથે હાજર રહીને દલીલો રજૂ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચના નિશાના પર છે અને જે કામ 2 વર્ષમાં થવું જોઈએ, તે માત્ર 3 મહિનામાં પૂર્ણ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. સુનાવણી બાદ CJI સૂર્યકાંતની બેન્ચે સ્પષ્ટ કર્યું કે, સાચા અને લાયક મતદારો ચૂંટણી યાદીમાં રહેવા જ જોઈએ. મમતાની અરજી પર બેન્ચે ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે 9 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માગ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રાહુલે કહ્યું- આજે PMને નરવણેનું પુસ્તક આપીશ:અનપબ્લિશ્ડ બુક લઈને સંસદ પહોંચ્યા, કેન્દ્રીય મંત્રી બિટ્ટુને ગદ્દાર કહ્યા, મંત્રી બોલ્યા- દેશના દુશ્મન આર્મી ચીફ એમએમ નરવણેના જે પુસ્તકને લઈને સંસદમાં બે દિવસથી હોબાળો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી બુધવારે તે જ પુસ્તક લઈને સંસદ પહોંચ્યા. તેમણે કહ્યું કે જો આજે PM આવશે તો તેમને આ પુસ્તક આપીશ. રાહુલે પુસ્તકનું તે પાનું ખોલીને બતાવ્યું, જેમાં લખ્યું છે કે વડાપ્રધાને આર્મી ચીફને કહ્યું હતું- જે યોગ્ય લાગે તે કરો! રાહુલે કહ્યું કે સરકાર અને રક્ષા મંત્રી કહી રહ્યા છે કે પુસ્તકનું અસ્તિત્વ નથી. જુઓ, આ રહ્યું પુસ્તક. રાહુલે કહ્યું કે મને નથી લાગતું કે વડાપ્રધાન આજે લોકસભામાં આવવાની હિંમત કરશે. જો વડાપ્રધાન આવે છે તો હું પોતે જઈને તેમને આ પુસ્તક સોંપીશ, જેથી તેઓ તેને વાંચી શકે અને દેશને તેના વિશે જાણ થઈ શકે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. જમ્મુ-કાશ્મીરમાં જૈશના બે આતંકવાદીઓ માર્યા ગયા:ઉધમપુરમાં ગુફામાં છુપાયા હતા, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બુધવારે સુરક્ષાબળોએ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ અથડામણ મંગળવારથી ચાલી રહી હતી. આ દરમિયાન એક આતંકીને ગોળી વાગી હતી અને બંને આતંકવાદીઓ ગુફામાં છુપાઈ ગયા હતા. સેનાની 'વ્હાઈટ નાઈટ કોર' હેઠળ CIF ડેલ્ટા, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે આતંકીઓની હાજરીની બાતમી મળ્યા બાદ બસંતગઢ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. PTIના જણાવ્યા અનુસાર, રામનગરના જાફર જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલી અથડામણ દરમિયાન એક આતંકીને ગોળી વાગી હતી, પરંતુ તે તેના સાથી સાથે ગુફાની અંદર જતો રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગુફામાં ભાગવા માટે બે રસ્તા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સોનું ₹1.58 લાખ પર પહોંચ્યું, બે દિવસમાં ₹9,412 મોંઘું થયું:ચાંદી ₹9,573 વધીને ₹2.74 લાખ/કિલો, 2 દિવસમાં ભાવમાં ₹14,038નો વધારો સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 4 ફેબ્રુઆરીએ વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે ઝવેરી બજારમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 6,629 રૂપિયા વધીને 1,58,158 રૂપિયા થયો છે. આ પહેલા તે 1,51,529 રૂપિયા પર હતો. સોનું બે દિવસમાં 9412 રૂપિયા મોંઘું થયું છે. ચાંદીની કિંમત આજે 9,573 રૂપિયા વધીને 2,73,538 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ પહેલા તેની કિંમત 2,63,965 રૂપિયા હતી. બે દિવસમાં તે 14,038 રૂપિયા વધી ચૂકી છે. જ્યારે ઝવેરી બજારમાં સોનાએ 29 જાન્યુઆરીએ 1,76,121 અને ચાંદીએ 3,85,933 રૂપિયાનો ઉચ્ચતમ સ્તર બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપીમાં 3 સગીર બહેનો 9મા માળેથી કૂદી:કોરિયન લવ ગેમની લત હતી, પિતાએ ઠપકો આપ્યો હતો; સુસાઈડ નોટમાં લખ્યું- હવે તમને અહેસાસ થશે કે અમે ગેમને કેટલો પ્રેમ કરતા હતા ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે 2 વાગ્યે ત્રણેયે રૂમને અંદરથી બંધ કર્યો હતો, ત્યારબાદ સ્ટૂલ મૂકીને એક પછી એક બાલ્કનીમાંથી પડતું મૂક્યું હતું. તેમની ઉંમર આશરે 12, 14 અને 16 વર્ષની છે. પિતાના જણાવ્યા મુજબ, ત્રણેય દીકરીઓને ટાસ્ક-બેઝ્ડ 'કોરિયન લવ ગેમ'ની લત હતી. તેઓ હંમેશા એકસાથે રહેતી હતી. સાથે જ નાહવા અને ટોયલેટ પણ જતી હતી. ગેમની લત એવી હદે હતી કે તેમણે સ્કૂલ પણ છોડી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પિતાએ તેમને ગેમ રમવાની ના પાડી અને ઠપકો આપ્યો હતો, જેના કારણે તેમણે આ પગલું ભર્યું. ત્રણેય બહેનો જે રૂમમાં સૂતી હતી, ત્યાંથી પોલીસને એક ડાયરી મળી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના યુવકને ડિજિટલ અરેસ્ટ કરી 48 લાખ પડાવ્યા:ગઠિયાઓએ IP એડ્રેસ મેળવી મોબાઈલ-લેપટોપ પર કંટ્રોલ મેળવી લીધો, વિદેશમાં NRIને ફસાવ્યાનો પહેલો કિસ્સો છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોને અલગ અલગ ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી ઠગવાના કિસ્સાઓમાં વધારો થયો છે. હવે વિદેશમાં રહેતા NRI પણ સાયબર ફ્રોડ કરતી ટોળકીના નિશાના પર આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના એક યુવકને મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ડિજિટલ અરેસ્ટ કરી ઓસ્ટ્રેલિય ડોલર સહિત રૂ. 48 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા યુવકના પિતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદને કોમનવેલ્થ પહેલા ચકાચક કરાશે:નહેરુનગરથી ઇસ્કોન સુધી 4 કિમીનો એલિવેટેડ કોરિડોર, ફ્લડ પ્રૂફ-ડસ્ટ ફ્રી, વાયરમુક્ત સિટીનો વાયદો, AMCનું રુ.17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રાજ્યમાં મહાનગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજ્યની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે (4 ફેબ્રુઆરી)મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ રૂ. 17018 કરોડનું છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : શરદ પવારે કહ્યું- CM ફડણવીસ મર્જરની વાતચીતમાં સામેલ નહોતો:તેમને ટિપ્પણી કરવાનો અધિકાર નથી; વિદ્યા પ્રતિષ્ઠાનમાં અજિતના પુત્રોને મળ્યા NCP-SP ચીફ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : લિબિયાના પૂર્વ તાનાશાહ ગદ્દાફીના પુત્રની હત્યા:ઘરમાં ઘૂસીને ગોળી મારી; ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા-ઇન્ડિગો ફ્લાઇટ્સની પાંખો અથડાઈ:તમામ મુસાફરો સુરક્ષિત; એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 200 મુસાફરો સવાર હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાએ અરબી સમુદ્રમાં ઈરાની ડ્રોન તોડી પાડ્યું:અમેરિકી યુદ્ધ જહાજ પાસે પહોંચ્યું હતું; ઈરાન 1000 ડ્રોન તૈયાર કરવાનો દાવો કરી ચૂક્યું છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઇલોન મસ્ક દુનિયાનો સૌથી અમીર માણસ:એક જ દિવસમાં ₹7 લાખ કરોડ વધ્યા, કુલ સંપત્તિ 77 લાખ કરોડને પાર; ભારતના ટોપ-40 અમીરો કરતાં આ વધુ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતે U19 વર્લ્ડકપના ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો:AFG સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું; આરોન જ્યોર્જની સદી, વૈભવ-મ્હાત્રેની ફિફ્ટી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ફાગણ માસ સાથે જોડાયેલી માન્યતાઓ:ફાગણ માસમાં કરો ભગવાન શિવ, વિષ્ણુજી, શ્રીકૃષ્ણની સાથે ભક્ત પ્રહલાદની વિશેષ પૂજા, ગાયોને લીલું ઘાસ ખવડાવો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ શખ્સે ચૂંટણી લડવા માટે દીકરીનો જીવ લીધો મહારાષ્ટ્રમાં સરપંચ બનવાની ઘેલછામાં એક પિતાએ પોતાની જ દીકરીને નહેરમાં ડુબાડીને મારી નાખી. હકીકતમાં, નિયમ છે કે જેને બે બાળકો છે તે ચૂંટણી લડી શકતા નથી. આ જ કારણે શખ્સે ત્રણ દીકરીઓમાંથી એકની હત્યા કરી દીધી. હાલમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: આફ્રિકાને ગળી જશે ચીન:ડ્રેગનનાં દેવામાં 60થી વધુ દેશ પાયમાલ, અમેરિકા પણ જાળમાં ફસાયું, જાણો લોનનું ડેડલી મિકેનિઝમ 2. આજનું એક્સપ્લેનર:ધુરંધર 2ના ટીઝરમાં જૂના સીન, કોઈ ડાયલોગ નહીં; રહેમાન ડકૈત પછી નવો વિલન કોણ, લયારીની કહાનીમાં આગળ શું 3. વાઇફનું અફેર ખુલ્લું પાડનારા નાનાભાઈનો જ જીવ લઈ લીધો:જીપ અથડાવી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પોલીસથી બચવા પત્નીના પ્રેમીને ફોન કર્યો 4. ભાસ્કર એક્સક્લૂસિવ : ખંડણી માગવાની અબુ સાલેમ સ્ટાઇલ, કોણ છે શુભમ લોણકર:લોરેન્સનો ખાસ, રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ, ફાઇનાન્સર પાસે માગ્યા 5 કરોડ 5. મા જગદંબાએ જેનાથી મહિષાસૂરનો વધ કર્યો તેવું આબેહૂબ ત્રિશૂળ:600 કિલો વજન, 16 ફૂટ ઊંચાઇ ને કાટ ન લાગે તેવું મટિરિયલ, ત્રિશૂળિયા ઘાટ પર સ્થાપિત કરાશે 6. બાંગ્લાદેશથી ભાસ્કર ‘જે દેશે હસીનાને આશરો આપ્યો, તે દોસ્ત કેવી રીતે?’:BNP લીડરે કહ્યું- ઈન્ડિયા સ્પેશિયલ નથી, એક-બે મર્ડરને હિંદુઓ વિરુદ્ધની હિંસા ન કહેશો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:તુલા રાશિના પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે, મીન જાતકો માટે સપના સાકાર કરવાનો ઉત્તમ સમય વાંચો સંપૂર્ણ રાશિફળ
વંથલી તાલુકાના સુખપુર ગામના સરપંચે નક્કી કરેલ કંપની કરતા અન્ય કંપનીની ઉંચા ભાવે ડસ્ટબીનની ખરીદી કરી અધિકારનો દુરુપયોગ કરતા ડીડીઓએ સુખપુરના સરપંચ અરૂણ ડાંગરને હોદ્દા પરથી દૂર કરવા અને ખરીદીમાં વધારાની ચૂકવેલ રકમ રૂપિયા 1,18,320ની સરપંચ પાસેથી વસૂલવાનો હુકમ કર્યો છે. અરજદાર દિનેશ રાઠોડે સુખપુર ગ્રામ પંચાયત દ્વારા 14માં નાણાપંચ અંતર્ગત ડસ્ટબીન અને એલઇડી લાઇટની ખરીદી વખતે બિલોમાં ખોટી સહિઓ, તારીખ વગરના મુકી ભ્રષ્ટાચાર કરેલ છે તેવી ફરિયાદ કરી હતી. ફરીયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા તપાસ કરતા ગ્રામ પંચાયતનુ જીઇએમ પોર્ટલ પર એકાઉન્ટ ન હોય અને ડસ્ટબીનની ખરીદી આ પોર્ટલ પરથી કરેલ ન હોય તેવુ જણાયુ હતુ. ગ્રામપંચાયત દ્વારા 2,32,560 રૂપિયાની ડસ્ટબીન ત્રણ ભાવ મેળવીને કરેલ છે. ખરેખર એકલાખ ઉપરની ખરીદી માટે વર્તમાનપત્રોમાં જાહેરાત આપવી ફરજીયાત હોય છે પરંતુ સુખપુર ગામના સરપંચે જાહેરાત વગર જ ખરીદી કરી હોદ્દાનો દુરપયોગ કર્યો હોવાથી ડીડીઓ એચ.પી.પટેલે સુખપુરના સરપંચ અરૂણ ડાંગરને હોદ્દા પરથી દૂર કરવી આ ડસ્ટબીની ખરીદીમાં વધારે ચૂકવેલ રકમ રૂ. 1,18,320ની અરૂણ ડાંગર પાસેથી વસૂલ કરીને જમા લેવા આદેશ કર્યો છે. અંતિમ મુદતમાં સરપંચ ગેરહાજર રહેતા કાર્યવાહીસરપંચ ડાંગરને લેખિત અને મૌખિક રજૂઆત માટે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરપંચ હાજર રહી મૌખીક રજૂઆતો કરી મુદતો માંગી હતી. અંતિમ મુદત તારીખ 1-12-2025ના રોજ રાખવામાં આવી હતી. સરપંચ ગેરહાજર રહેતા કાર્યવાહી થઇ હતી. મને જાણ કર્યા વગર જ નિર્ણય કર્યોઅંતિમ મુદત જે 1-12-2025ના રોજ રાખી હતી. જેની મને કોઇપણ પ્રકારની જાણ કરી ન હતી અને તંત્રએ નિર્ણય કરી લીધો હતો. ઉપરાંત બધા સરપંચ ભણેલા હોઇ તેવુ પણ નક્કી ન હોય ને અને ખાસ વાત એ કે, જ્યારે મે બિલ મુક્યા ત્યારે પાસ ન કરવા જોઇએ ને. > અરૂણ ડાંગર, સુખપુર સરપંચ
ગંભીર અકસ્માત સર્જાયો:ડુંગરપુરનાં વૃદ્ધાને બાઇક ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા
ડુંગરપુરમાં રહેતા 60 વર્ષીય સોનાબેન બાબુભાઈ મકવાણા નામના વૃદ્ધા સોમવારે તેની દીકરી મીનાબેન સાથે ગામમાં સોમવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે ગામના ચાંદની ચોકમાં રહેતો યોગી અજયભાઈ નામના શખ્સે પોતાની 5696 નંબરની બાઈક પૂરઝડપે ચલાવી વૃદ્ધાને ટક્કર મારી હતી. અકસ્માતથી સોનાબેનને માથા અને પગના ભાગે ગંભીર ઈજા થવાથી જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત વૃધ્ધાના પુત્ર રમેશભાઈની ફરિયાદ લઈ બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રાણાવાવ પંથકના ઠોયાણા ગામે અનોખા લગ્નપ્રસંગે યોજાયો હતો.આ લગ્નપ્રસંગમાં પ્રાકૃતિક ખેતી કરતા પિતાએ પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનું મંચ બનાવ્યું હતું.ઠોયાણા ગામને પ્રગતિશીલ ખેડુતનો નવતર પ્રયોગ કરી પુત્રના લગ્ન પ્રસંગે જમણવારમાં પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલું અમૃત ભોજન મહેમાનોને પીરસાયું હતું. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં તાજેતરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગ માત્ર એક પરિવારની ખુશી પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તે સમાજ માટે એક સંદેશ બન્યો હતો. ગામના પ્રગતિશીલ ખેડૂત રાજશીભાઇ ઓડેદરાએ પોતાના પુત્રના લગ્નને એક નવી દિશા આપી જ્યાં ઢોલ-નગારા અને મીઠાઈઓ સાથો-સાથ પ્રાકૃતિક ખેતીનો સંદેશ પણ ગુંજતો થયો હતો. આજના સમયમાં સામાન્ય રીતે લગ્ન એટલે વૈભવ, દેખાડો અને મોજમસ્તી, પરંતુ રાજશીભાઇએ આ પ્રસંગને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનુ પ્રચારનું મંચ બનાવી દીધું. લગ્ન મંડપ પાસે ઉભા કરાયેલા પ્રાકૃતિક ખેતીના સ્ટોલે માત્ર માહિતી જ નહીં, પરંતુ આશા પણ વહેંચી. લગ્નમાં ઉપસ્થિત મહેમાનો રાસાયણિક મુક્ત ખેતીના લાભો સમજતા જોવા મળ્યા આ દૃશ્ય પોતે જ એક નવી શરૂઆતનું પ્રતીક હતું. આ લગ્નની સૌથી અનોખી વાત એ હતી કે જમણવારમાં પીરસાયેલું દરેક ભોજન પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલું હતું. થાળીમાંથી ઉઠતો સ્વાદ માત્ર ભોજનનો નહોતો, પરંતુ પ્રાકૃતિક ખેતીથી પ્રાકૃતિક આહારના વિચારનો જીવંત અનુભવ હતો. અનેક મહેમાનોએ સ્વીકાર્યું કે લાંબા સમય પછી એમને સાચો, હળવો અને સ્વસ્થ આહાર મળ્યો હતો. ગાય, ગામડું અને ગાય આધારિત ખેતી બચશે તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે ખેતીની સાથો- સાથ ધરતી માતા અને ગાય માતાનુ જતન જરૂરી છે. ગાય, ગામડું અને ગાય આધારિત ખેતી બચશે તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે. તેમનો વિશ્વાસ દ્રઢ હતો કે જો લોકો પ્રાકૃતિક આહાર, શુદ્ધ દૂધ-ઘી અને ગૌઆધારિત જીવનશૈલી અપનાવે, તો બીમારીઓ ઘટશે અને દવાખાનાઓની જરૂરિયાત આપોઆપ ઓછી થઈ જશે. > રાજશીભાઈ ઓડેદરા પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય, પર્યાવરણ અનેસંસ્કૃતિને બચાવવાનો દીવાદાંડી સમાન સંકલ્પ કેમિકલયુક્ત ખેતીના વધતા જોખમો વચ્ચે રાજશીભાઇએપસંદ કરેલો આ માર્ગ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુઆવનારી પેઢીના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સંસ્કૃતિનેબચાવવાનો એક દીવાદાંડી સમાન સંકલ્પ છે - જે એક લગ્નપ્રસંગથી શરૂ થઈ આખા સમાજને ઉજાસ આપતો દેખાય છે.
પોરબંદરમાં જંત્રીના ભાવ ડબલ કરતા વધુ છે અને જંત્રીની વિસંગતતા જોવા મળે છે. એકજ વિસ્તારમાં એક જ રોડ પર જંત્રી અલગ અલગ હોય છે અને એપાર્ટમેન્ટમાં અને કોમર્શિયલ મિલકતની કિંમત કરતા જંત્રીની કિંમત ડબલ થી પણ વધુ છે અને ફ્લેટની કિંમત જંત્રી કરતા ખૂબ ઓછી છે ત્યારે જંત્રીની વિસંગતતા ને કારણે વેચનાર અને ખરીદનાર મુશ્કેલી અનુભવે છે, ઓછી કિંમતની મિલકત હોવા છતાં જંત્રી ડબલ થી વધુ હોવાથી મિલકત ખરીદનારને વધુ સ્ટેમ્પ ડ્યુટી અને વાઇટની મૂડી શોધવા નિકળવું પડે છે. પોરબંદરમાં એકતરફ જંત્રી દર ડબલ કર્યા છે અને બીજીતરફ જંત્રી દરમાં વિસંગતતા જોવા મળે છે. પોરબંદર રેલ્વે સ્ટેશન રોડ પર એક જ વિસ્તારમાં આવેલ રોડથી ઉતર તરફ અને દક્ષીણ તરફ ઝોન અલગ થવાના કારણે અલગ-અલગ ભાવ દર્શાવેલ છે. એક ઝોનમાં મીટરનો ભાવ જંત્રી 12 હજાર છે અને સામે ઝોનમાં મીટરનો ભાવ 25 થી 30 હજાર છે. જુના રહેણાંક એપાર્ટમેન્ટના જંત્રીદરો વાસ્તવિક બજાર ભાવથી વધુ છે. કોમર્શીયલ મીલ્કતોમાં ફર્સ્ટ ફલોર કે તેની ઉપરના ભાગમાં ઓફીસો હોય તેના ભાવ વાસ્તવિક બજાર ભાવથી જંત્રી વધુ છે. તો છાંયા કોઝવે રોડ, બીરલા રોડ પરના સર્વે નંબર 3215 વાળો ઝોન ખુબ મોટો હોવાના કારણે જે ભાવ એમ.જી.રોડ પર છે તે જ ભાવ છાંયાના રણ વિસ્તારમાં લાગુ પડે છે, જે બજાર ભાવથી 300 ટકા વધારે હશે. જ્યારે યુગાન્ડા રોડ, વાડીયા રોડ, વાઘેશ્વરી પ્લોટ, વાડી પ્લોટ જેવા વિસ્તારોમાં હાલના જંત્રીદરો અવાસ્તવિક અને ખુબ વધારે છે. કમલાબાગ સામે આવેલ એપાર્ટમેન્ટમાં ફલેટની જંત્રી 1.60 કરોડ છે અને ફ્લેટનો માલિક ફ્લેટ 45 લાખથી પણ ઓછી કિંમતમાં ફ્લેટ વેંચવા તૈયાર છે પણ જંત્રી વધુ હોવાથી ફ્લેટ ખરીદનાર મળતા નથી અને તેનાથી 500 મીટરના અંતરે આવેલ એક એપાર્ટમેન્ટમાં ફલેટની જંત્રી 12 લાખ છે. આ જબરી વિસંગતતા દેખાડે છે. ઊંચી જંત્રી હોવાને લીધે અમુક એપાર્ટમેન્ટમાં કોઈ ખરીદનાર મળતા ન હોવાથી ફ્લેટ ધારકોએ ફ્લેટની કિંમત અડધી કરી નાખી હોવા છતાં પણ બબ્બે વર્ષથી ફ્લેટ ખરીદનાર મળતા નથી. આ રીતે કોમર્શિયલ મિલકતમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનનો ભાવ જંત્રી મુજબ 12 હજાર મીટર હોય તો જે ભાવે હોય તેના 70 ટકા ઉપરના માળના ભાવ ગણવામાં આવે છે પરંતુ ખરેખર બીજા ત્રીજા માળે દુકાનના ભાવ 50 ટકા કરતા પણ ઓછા હોય છે અને જંત્રી વધુ હોય છે. છાંયા રણ વિસ્તારમાં પાણીમાં પ્લોટની જંત્રી 20 થી 25 હજાર છે અને રણ પાસે સારી જગ્યામાં પણ જંત્રી 25 થી 30 હજાર બતાવે છે. આ ઉપરાંત કમલાબાગ અને છાંયા ચોકી નજીકના વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટ રૂ. 15 લાખમાં ફ્લેટ વેચાવ છે અને જંત્રી મુજબ 30 થી 35 લાખ ભાવ થાય છે, દસ્તાવેજ જ રૂ. 3 લાખનું થાય છે ત્યારે આવા સંજોગોમાં ઓછી કિંમતના ફ્લેટ અને ઓછી કિંમતની દુકાનો વેંચાતી નથી અને ખરીદનાર મળતા નથી. મિલકત લેનારને વધુ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે અને વાઇટની મૂડી શોધવા નિકળવું પડે છે. આમ નવી જંત્રીએ પોરબંદરની રિયલ એસ્ટેટ માર્કેટને પતાવી દીધી છે. વાઈટની એન્ટ્રી માટે બેનામી વહેવારને ઉતેજન મળે છેઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં એક જ વિસ્તારમાં જંત્રીના દરમાં વિસંગતતા જોવા મળે છે. જંત્રીની વિસંગતતા હોવાથી ફ્લેટ, મકાન કે દુકાન ધારક ઓછી કિંમતમાં મિલકત વેંચે છે છતાં મિલકતની કિંમતના બદલે જંત્રી ડબલ થી વધુ હોવાથી ખરીદનારને વાઇટની એન્ટ્રી માટે બેનામી વહેવાર ઊભા થાય છે અને મોટાપાયે ગેરરીતિને ઉતેજન મળે છે. દર વર્ષે જંત્રી માટે સર્વે કરવો જોઈએ ઓફિસમાં બેસીને આ રીતે જંત્રી ન બની શકે, દર વર્ષે બે પાંચ ટકા ફુગાવાના પ્રમાણમાં જંત્રીના દરમાં ફેરફાર કરવા જોઈએ, 2011 પછી 2023 સુધી કાઈ ન કર્યું, જંત્રીનું પરિક્ષણ દર વર્ષે થવું જોઈએ, માર્કેટના અપ ડાઉન ધ્યાને લઈને દર વર્ષે વધ ઘટ કરે તો વાંધો ન આવે, ખાસ કરીને જંત્રી દર મુખ્ય રોડ અને શેરી મુજબ હોવા જોઈએ, મુખ્ય રોડ થી અંદરની શેરીમાં જંત્રી ભાવ ઓછા હોવા જોઈએ, કોર્નર મુખ્ય રોડ અને અંદર ખૂણાનો ભાવ પણ એક ન હોવો જોઈએ. > રાજેશ લાખાણી, રેવન્યુ પ્રેક્ટિશનર, એડવોકેટ, પોરબંદર
ખુદ મનપાનું વાહન રોડ સેફ્ટીનું પાલન કરતું નથી !:કચરાથી ભરેલા ખુલ્લા વાહનથીગંદકી અને અકસ્માતનો ખતરો
શહેરની સ્વચ્છતા જાળવવાની જવાબદારી ધરાવતી પોરબંદર પાલિકાના કચરો લઈ જતા વાહનો ખુદ રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાઈ આવ્યું છે. વાહનો પર શહેરનો કચરો ઠાલવી દેવામાં આવે છે અને કચરાનો મોટો ઢગલો વાહન પર જોવા મળે છે. અહીં વાહન પર તાલપત્રી ન મુકાતા રસ્તા પર કચરો છૂટો પડી રહ્યો છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. કચરાના ઢગલા ભરેલ ખુલ્લા વાહનો મુખ્ય માર્ગો પરથી પસાર થતા સમયે પ્લાસ્ટિક, કાગળ સહિત ગંદકી રોડ પર ફેલાય છે. અચાનક રોડ પર પડતા કચરાથી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને અકસ્માતની શક્યતા પ્રબળ બને છે. રોડ સેફટીના નિયમો મુજબ કચરો વહન કરતી ગાડીઓને ઢાંકવું ફરજિયાત હોવા છતાં મનપા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાન મનપાના વાહનોને કેમ લાગુ પડતું નથી ?એક તરફ સ્વચ્છ ભારત અને સ્વચ્છ શહેરના મોટા દાવા કરવામાં આવે છે. પોરબંદર મનપા દ્વારા નાગરિકોને સ્વરછતા ન જાળવવા બદલ દંડ કરવામાં આવે છે પરંતુ મનપાના વાહનો દ્વારા ખુલ્લેઆમ નિયમ ભંગ કરે છે, વાહન પર કચરાના ઢગલા તાલપત્રી વગર દોડી રહ્યા છે. આવા કચરાના વાહનો સામે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગૌશાળા ખાતે અત્યાર સુધીમાં 706 આખલાનો નિભાવ:મનપાની ટીમે બીજા તબક્કામાં 491 આખલા પાંજરે પૂર્યા
પોરબંદરમાં મનપા દ્વારા આખલા પકડવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તાર માંથી બીજા તબક્કામાં 491 આખલા પાંજરે પૂરી ગૌશાળા ખાતે મૂકવામાં આવ્યા છે. પોરબંદર મનપા બનતા આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખલા પકડ્યા બાદ આ કામગીરી છેલ્લા 5 માસથી બંધ કરવામાં આવી હતી. આ દરમ્યાન આખલાનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો જેથી મનપાના સેનીટેશન વિભાગ દ્વારા આખલા પકડવાની કામગીરી શરૂ કરી હતી. ટીમે વિવિધ વિસ્તારો માંથી તા. 22 નવેમ્બરથી અત્યાર સુધીમાં 491 આખલા પકડી કામગીરી કરી મનપા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે છોડવામાં આવ્યા છે. મનપા દ્વારા આ ઝુંબેશ કાયમી ચાલુ રહે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છેકે, હાલ ગૌશાળા ખાતે 706 ગૌધનનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. ગૌશાળા ખાતે વેટરનરી ડો. દિલાવર સાટી અને સંસ્થા તરફથી ડો. વિજય ખુંટી ફરજ બજાવી રહ્યા છે. અહીં બીમાર ગૌધનની સારવાર તથા ઇન્જાગ્રસ્ત ગૌધનની સર્જરી અને ઓપરેશન કરવામાં આવી રહ્યા હોવાનું વેટરનરી ડોક્ટરે જણાવ્યું હતું. 3 માસમાં 5 મોટા ઓપરેશન થયા મનપા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે છેલ્લા 3 માસમાં 5 મોટા ઓપરેશન કરવામાં આવ્યા છે. 5 ઓપરેશન દરમ્યાન ગૌધનના પેટ માંથી 25 થી 30 કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું હતું. ગૌશાળા ખાતે દરરોજ ગૌધનને તપાસી સારવાર આપવામાં આવી રહી હોવાનું વેટરનરી ડોક્ટરે જણાવ્યું છે.
આદિત્યાણા અને કાટવાણા ગામના બગીચામાંથી આવક નોંધાઈ:પોરબંદર યાર્ડમાં 120 કિલો ખાખડી કેરીની આવક
પોરબંદરના યાર્ડમાં સિઝનની સૌપ્રથમ વખત સૌથી વધુ 120 કિલો ખાખડી કેરીની આવક નોંધાઈ છે.પોરબંદરના આદિત્યાણા અને કાટવાણા ગામના બગીચામાંથી આવક નોંધાઈ હતી ત્યારે યાર્ડમાં આવક થયેલ ખાખડી કેરીના ખેડૂતને પ્રતિકીલોના રૂ.500 ભાવ મળ્યા હતા. પોરબંદરના યાર્ડમાં ભરશિયાળે કેસર કેરીની આવક નોંધાઈ હતી.યાર્ડમાં પોરબંદરના બરડા પંથકમાંથી તેમજ ગીર પંથકમાંથી કેસર કેરીની આવક થઈ હતી ત્યારે પોરબંદરના માર્કેટયાર્ડ શાકભાજી વિભાગમાં સિઝનની સૌપ્રથમ સૌથી વધુ ખાખડીકેરીની આવક થઈ હતી યાર્ડમાં આવેલ શાકભાજી વિભાગમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા તેમજ કાંટવાણા ગામમાં આવેલ કેરીના બગીચામાંથી 120 કિલો ખાખડી કેરીની આવક થઈ હતી.ત્યારે યાર્ડમાં આવક થયેલ ખાખડી કેરીના ખેડૂતને પ્રતિકીલોના રૂ.500 ભાવ મળ્યા હતા.યાર્ડમાં સૌપ્રથમ વખત સૌથી વધુ ખાખડી કેરીની આવક થતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી. ફેબ્રુઆરી અંતમાં થતી આવક ફેબ્રુઆરીના પ્રારંભે થઈપોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં આવેલ અમુક કેરીના બગીચામાં આવેલ આંબામાં વહેલો ફાલ લાગી જતા યાર્ડમાં ખાખડી કેરીની વહેલી આવક નોંધાઈ છે.સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંત સુધીમા ખાખડી કેરીની આવક થતી હોય છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરની જેલ, ખાસ જેલ અને ઉપજેલોમાં બંદીવાન કેદીઓની માનસિક શાંતિ અને શારીરિક આરોગ્ય સુધરે તે હેતુથી 365 દિવસ યોગ અને ધ્યાન વર્ગો યોજવાનો વ્યાપક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પોરબંદરની ખાસ જેલમાં પણ કેદીઓ માટે નિયમિત યોગ વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની જેલોમાં બંદીવાન કેદીઓ માટે યોગ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા કેદીઓમાં માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને આરોગ્યમાં સુધારો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું. સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલ ત્રિવેદી, ઝોન કો-ઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા અને જિલ્લા કો-ઓર્ડિનેટર કેતન કોટિયાના સંકલનમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ખાસ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ જાડેજાના સહયોગથી બંદીવાન કેદીઓ માટે 365 દિવસ યોગ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ વર્ગોમાં યોગ બોર્ડના અનુભવી યોગ ટ્રેનર અલ્તાફ મુલાની પોતાની સેવા આપશે. ઉલ્લેખનીય છે કે ફિટ ઇન્ડિયા મિશનને આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લા કો-ઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા ખાસ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે યોગ સંવાદ યોજી, યોગ અને ધ્યાનથી થનારા માનસિક, શારીરિક અને આત્મિક લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં 100 જેટલા નિઃશુલ્ક વર્ગ ચાલે છેહાલ રાજ્યભરમાં 5,000થી વધુ યોગ કોચ અને યોગ ટ્રેનરોના સહયોગથી નિયમિત યોગ વર્ગો ચાલી રહ્યા છે. અને પોરબંદર જિલ્લામાં 100 જેટલા યોગ વર્ગો નિઃશુલ્ક ચાલી રહ્યા છે. કેદીઓને કેવા પ્રકારના યોગ કરાવવામાં આવશે ?કેતન કોટિયાએ જણાવ્યું હતુકે, ખાસ જેલમાં કેદીઓને પ્રાણાયામ, ધ્યાન, આસન શીખવાડવામાંઆવશે, ખાસ કરીને જે કેદીઓને ઊંઘ ન આવવી, ઊંઘ માટેની દવા લેતા કેદીઓને ખાસ પ્રકારનાયોગ કરાવવામાં આવશે તેમજ હૃદયની સમસ્યા, બીપી, ડાયાબિટીસ, પગના સાંધાના દુખાવામાંજેવી સમસ્યા માટેના આસનો કરાવવામાં આવશે. કેદીઓની સમસ્યાને વ્યક્તિગત રીતે સાંભળીનેતેની સમસ્યાનું યોગ દ્વારા નિવારણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
માંગરોળની 108ની ટીમે આંત્રોલી ગામની સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા,બાળકનો જીવ બચાવ્યો હતો.108 ટીમે સગર્ભાની એમ્બ્યુલન્સ ડિલિવરી બાદ વધુ સારવાર અર્થે માતા બાળકને માધવપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોય છે. જેમની એક સેવા 108ને માનવામાં આવે છે. 108 ની ટીમ દ્વારા ગમે તેં સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. માધવપુર નજીકના આં ત્રોલી ગામે રહેતા એક સગર્ભાને ત્રીજી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનો દ્વારા 108ને જાણ કરતા 108ના ઈ.એમ.ટી. વિજયભાઈ અને પાયલોટ દિનેસભાઈ એ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો ટી આર પટેલના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડીલેવરી કરાવી હતી અને દીકરીનો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ માધવપુર સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કર્યા હતા.
કાર્યવાહી:પોરબંદર મનપા દ્વારા બુધવારે 135 સ્ટ્રીટ લાઇટ રિપેરીંગ કરી હોવાનો દાવો કરાયો
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સુવિધાઓ સુધારવા વિવિધ વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો કરી જાહેર કરવામાં આવ્યું છેકે, ઇલેક્ટ્રિક, સેનિટેશન અને ગાર્ડન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા છાંયા, જુરીબાગ, કમલાબાગ, વાડીપ્લોટ સહિત વિસ્તારોમાં કુલ 135 સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે તેમજ સેનિટેશન વિભાગ દ્વારા વોર્ડ 1થી 13માં બજાર, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો, ટુરિસ્ટ વિસ્તારો અને મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવી છે, આ ઉપરાંત ગાર્ડન વિભાગ દ્વારા શહેરના 10થી વધુ ગાર્ડનની સફાઈ તેમજ વૃક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. વિવિધ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદ ઉઠે છેમનપા બન્યા બાદ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ કામગીરી હાથ ધરી દરરોજ સરેરાશ 125 થી વધુ સ્ટ્રીટ લાઈટો રિપેર કરવામાં આવતી હોવાનો મનપા દાવો કરે છે, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદ વ્યાપક બની છે. મનપા ખાતે સૌથી વધુ ફરિયાદ સ્ટ્રીટ લાઈટ બંધ થવાની હોય છે.
બાપોદર ગામના એક વૃદ્ધ તેમની પુત્રવધૂની એકાએક તબિયત લથડતા સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે પુત્ર વધુનું સારવાર દરમ્યાન મોત થતા વૃદ્ધ શોકમગ્ન હતા તે દરમ્યાન સરકારી હોસ્પિટલના ભૂતનાથ ગેટ પર જ વૃદ્ધ પર કૂતરાએ હુમલો કરી ફાડી લીધા હતા જેથી આ વૃદ્ધ ભાંગી પડ્યા હતા. પોરબંદર જિલ્લા તેમજ શહેરમાં રઝડતા કુતરાનો આતંક વધ્યો છે.પ્રતિદિન જિલ્લા તેમજ શહેરમાં રઝળતા કૂતરા માનવી હુમલા કરતા હોવાથી સરકારી હોસ્પિટલમાં જ રોજ 20 થી 30 લોકો સારવાર માટે આવે છે.ત્યારે શહેર બાદ હવે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ પણ રઝળતા કુતરાનો શિકાર બની રહ્યા છે. હોસ્પિટલના ગેટ તેમજ પટાંગણમાં રહેલ રઝળતા કૂતરા અહીં સારવાર લઈને આવતા દર્દીઓના પરિવાર પર હુમલા કરી રહ્યા હોવાની ઘટના બની રહી છે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે બાપોદર ગામમાં રહેતા કાનાભાઈ મકવાણા નામના વૃદ્ધ પોતાની પુત્રવધૂની તબિયત લથડતા સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યારે સારવાર દરમ્યાન પુત્રવધૂનું મોત થયું હતું.આ ઘટનાને લઈને વૃદ્ધ શોકમગ્ન હતા તે દરમ્યાન સરકારી હોસ્પિટલના ભૂતનાથ ગેટ પર જ વૃદ્ધ પર કૂતરાએ હુમલો કરી ફાડી લીધા હતા જેથી આ વૃદ્ધ ભાંગી પડ્યા હતા. વૃદ્ધ હોસ્પિટલના ગેટ પાસેની સીડી પર હતા અને કૂતરાએ હુમલો કર્યોઆ વૃદ્ધ અને તેમના પરિવારની મહિલાઓ 108માં બીમાર પુત્રવધૂને લઈને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા.પુત્રવધૂનું મરણ થતા મહિલાઓ રોકકળ કરતા હોવાથી વૃદ્ધ દરવાજા પાસે ઉભા હતા અને તેમનું ચપલ નીચે પડી જતા લેવા જતા હતા તે દરમ્યાન ગેટ પર રહેલ કૂતરાએ હુમલો કરી દીધો હતો. > મેંણદભાઈ શિંગરખિયા
જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ:પોરબંદરમાં ચારિત્રની શંકા કરી પતિએ પરિણીતાને માર માર્યો
પોરબંદરના આવાસ યોજનામાં રહેતી એક પરણિતાને તેના પતિએ ગાળો કાઢી ચારિત્ર પર શંકા કરી માર મારી ઇજા પહોંચાડી ધમકી આપ્યા અંગેની પરણિતાએ ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના બોખીરા આવાસ યોજના બ્લોક નંબર 15 અને રૂમ નંબર 4માં રહેતા હર્ષીદાબેન ભરત વાંદરીયા નામની પરણિતાના પતિ ભરત કાનજી વાંદરીયાને દારૂ પીવાની ટેવ હોય, જેથી અવારનવાર માર મારી ત્રાસ આપતો હતો. છેલ્લા તેર દિવસ પહેલા આ પરિણીતાના પતીએ ઝઘડો કરતા પરણિતા ખારવાવાડમાં તેના માવતરે આવી હતી અને પરણિતા તેની માતા સાથે જેઠના ઘરે પતિ સાથે સમાધાન કરવા માટે ભેગા થયેલ ત્યારે આ પરિણીતાનો પતિ ભરત ત્યા આવેલ અને ચારીત્ર બાબતે શંકા કરી ભુંડી ગાળો કાઢી થપ્પડ મારી અને પેટના ભાગે લાત મારેલ અને જતા-જતા મને ધમકી ધમકી આપેલ કે હવે પછી મને સામે દેખાઇસ અને મારા સામે પોલીસ ફરિયાદ કરીશ તો તને જીવતી મારી નાખીશ તેમ કહી ત્યાંથી જતો રહેલ. પરણિતાને ઇજા પહોચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ભરત કાનજી વાંદરીયા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કીર્તિમંદિર પોલીસ ચલાવી રહી છે.
69મી SGFI ની રાષ્ટ્રીય કક્ષાની અંડર-14 બહેનોની બીચ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાત ટીમે શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાની ધોરણ-9 માં અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થીની ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. ગોલ્ડ મેડલ સાથે પાલનપુર પરત ફરેલી સુગનાનું રેલવે સ્ટેશનથી કલેકટર કચેરી સુધી ભવ્ય વરઘોડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. 69મી SGFI ની રાષ્ટ્રીય કક્ષાની અંડર-14 બહેનોની બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટ મેદીનીપુર-વેસ્ટ બંગાળ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત અંડર-14 ટીમે શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર સંચાલિત DLSS (જિલ્લા સ્તરની રમતગમત શાળા) બનાસકાંઠાની ધોરણ-9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખરાડી સુગ્ના દિતાભાઇએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મંગળવાર બપોરે રેલવેમાં ગોલ્ડ મેડલ સાથે પાલનપુર પરત ફરેલી સુગનાનું રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય વરઘોડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર મિહિર પટેલ દ્વારા સુગ્નાને મોમેન્ટો તથા બુકે આપી સન્માનિત કરવામાં આવી હતી. સાથે સાથે DLSS બનાસકાંઠામાં રમતગમત ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રૂ. 10 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ સમગ્ર સિદ્ધિ બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી કમલા પાલ અને જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ દ્વારા કલેક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ધોરણ-9 ની વિધાર્થીનીએ રાજ્ય કક્ષાની બીચ વોલીબોલમાં ગોલ્ડ મેડલ જીતી પરત આવતા શહેરમાં વરઘોડો નિકાળી સ્વાગત કરવામાં આવ્યું
રાહ તાલુકાના રાહથી ડેડુવાને જોડતા માર્ગ પર સિંગલ પટ્ટી ડામર કામગીરી શરૂ થતાં વિવાદ ઊભો થયો છે. અગાઉ સફાઈ કામગીરી દરમિયાન માર્ગ બંને બાજુથી 9–9 મીટર ખુલ્લો કરવામાં આવ્યો હતો, છતાં હાલ સિંગલ પટ્ટી ડામર કામ હાથ ધરાતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રામજનો અને આગેવાનો 7 મીટર પહોળા ડબલ લેન માર્ગની માંગ સાથે કામ અટકાવ્યું હતું.આ માર્ગ રાહ સહિત ત્રણ ગામોને જોડે છે અને ધાનેરાથી કિયાલ સુધીના હાઈવે સાથે મહત્વનું જોડાણ આપે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે,વિસ્તારમાં સતત ભારે ટ્રાફિક રહે છે. ડેડુવામાં યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ અધિકારીઓને રજૂઆત કરી હતી કે ડેડુવાથી રાહ સુધી હાઈવે મંજૂર થયેલ હોય તો સિંગલ પટ્ટી રોડ બનાવવો યોગ્ય નથી. હાઈવેમાં રૂપાંતરણ થવાથી હાઈવે-થી-હાઈવેનું જોડાણ સુનિશ્ચિત થશે અને બધાને સુવિધા મળશે. આ અંગે સ્થાનિક દિનેશભાઈ માળીએ જણાવ્યું હતું કે,પહોળા માર્ગની વાત હતી છતાં સિંગલ પટ્ટીનું કામ શરૂ કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે ગરનાળાનું કામ બાકી હોવા છતાં ડામર કરાયું છે. પરિણામે ગ્રામજનોએ કામ બંધ કરાવી થરાદ ખાતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

30 C