SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

અરવલ્લી આંગણવાડી કર્મચારી સંગઠનનું આવેદન‎ અપાયું:બજેટમાં આંગણવાડી કાર્યકરો માટે જોગવાઇ ન કરતાં આક્રોશ

અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્નોને લઇ અને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો અમલ ન કરાતાં તેના વિરોધમાં જિલ્લાની તમામ તાલુકા મથકે આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આવેદન અપાયું હતું. મહિલા સંગઠનને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો અમલ ન કરાતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી મહિલા કાર્યકરો માટે બજેટમાં કોઈ જોગવાઈ ન કરાઈ હોવાનો અને આંગણવાડી મહિલા કાર્યકરોને મોબાઈલ દ્વારા કરવાની થતી કામગીરીનો સખત વિરોધ નોંધાયો હતો. મોડાસા ખાતે વિરોધ પ્રદર્શનમાં આંગણવાડી કર્મચારી સંગઠનના ઉર્મિલાબેન પરમાર અનસુયાબેન તેમજ જાગૃતીબેન તેમજ રમીલાબેન સહિતની મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:40 am

જમીનના કબ્જા માટે‎ બબાલ થઈ:પ્રાંતિજના અમરાપુરમાં જમીનના કબ્જા બાબતે મારામારીમાં 6 જણા ઘાયલ થયા

પ્રાંતિજના અમરાપુરમાં કેનાલ પાસે આવેલ જમીનના કબ્જા માટે બે પરિવારો બાખડતાં લાકડીઓ, ધોકાથી માર મારી પથ્થરમારો કરવા દરમિયાન 6 જણાને ઇજાઓ થઈ હતી. પ્રાંતિજ પોલીસે 8 જણા વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. અમરાપુર(નવાઘર) ગામના નવલસિંહ તખતસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.4-3-26ના રોજ તેમના ભત્રીજાએ જાણ કરી હતી કે કેનાલ પાસે આવેલ દેસાઈવાળા નામના વાવેતર વાળા ખેતરમાં વિનુસિંહ પુંજસિંહ ઝાલાએ ટ્રેક્ટર લઈ જઈ મકાઈ પાડી દીધી છે. ભીખુસિંહ પુંજસિંહ ઝાલા, સુરપાલસિંહ વિનુસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ બાલુસિંહ ઝાલા સુરજસિંહ ગિરવંતસિંહ ઝાલા હાથમાં લાકડાના ધોકા લઈને ઘેર આવી ગયા હતા અને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. આની વિરુદ્ધમાં ચોરાવાળા વાસમાં રહેતા ભીખુસિંહ બાલુસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.4-3-26ના રોજ કુટુંબીએ જાણ કરી હતી કે તમારા કાકા વિનુસિંહ ટ્રેક્ટર લઈને ઘેર આવતા હતા ત્યારે યુવરાજસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, નવલસિંહ તખતસિંહ ઝાલા અને કાળુસિંહ તખતસિંહ ઝાલાએ રોકી માર મારી રહ્યા છે. જેથી ભીખુસિંહ તથા સુરપાલસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા અને સુરજસિંહ ઝાલા વગેરે દોડીને પહોંચતા નવલસિંહ તમે કેમ અમારી જમીન ખેડવા આવ્યા હતા કહીને ગડદાપાટુનો માર મારી રહ્યા હતા. વિનુસિંહને વધુ મારમાંથી છોડાવી છૂટા પડી ઘેર આવતાં નવલસિંહ ઝાલા, કાળુસિંહ ઝાલા, જયદીપસિંહ ઝાલા, અને યુવરાજસિંહ ઝાલા ધોકાથી માર માર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:39 am

માર માર્યો:ઈડરમાં યુવકના કપડાં ફાડી નાખી રંગછાંટી માર માર્યો

ઈડરમાં ધૂળેટીની સાંજે મોતીસરા બાવજીના મંદિરે દર્શન કરવા નીકળેલ રામદ્વારા વિસ્તારમાં રહેતા યુવકને મંદિરની પાસે બેઠેલા યુવકોએ કપડાં ફાડી નાખી રંગવા મામલે ઠપકો કરવા ગયેલ યુવકના પરિવારને લાકડીઓ, કડુ મારી પથ્થરમારો કરી ઈજાઓ કરતાં ઈડર પોલીસ સ્ટેશનમાં 7 સામે ફરિયાદ નોંધાઈ હતી. ઈડરના રામ દ્વારા મંદિરની સામે ઘાંટી રોડ પર રહેતા સચિન રમેશભાઈ નટુભાઈ ભોઈ મોતીસરા બાવજીના મંદિરે જઈને આવું છું કહી ઘેરથી નીકળ્યો હતો. થોડીવાર પછી ફાટેલા કપડાં અને રંગવાળો થઈને ઘેર આવતાં તેના ભાઈ મનોજ કુમારે પૂછતાં સચીને કહ્યું હતું કે મંદિરે પહોંચતા ભોઇ વાડામાં રહેતા અમિત ભરતભાઈ ભોઈ, રોહિત ભરતભાઈ ભોઈ, વિશાલ કીકમદાસ ભોઈ, કિશન કચરાભાઈ ભોઈ, સોહીલ લક્ષ્મણભાઈ ભોઈ, જીગર વસંતભાઈ ભોઈ અને દર્શન ધુળાભાઈ ભોઈ મંદિર પાસે બેઠેલા હતા અને સચિનને જોઈ જતાં પકડી લઈ પહેરેલા બધા કપડાં ફાડી નાખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:38 am

બે પાડોશીઓ બાખડ્યા:પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં પાણી ઢોળવામુદ્દે લાકડીઓ ઉછળી

પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં ધૂળેટીના તહેવાર દરમિયાન ઘરના આંગણામાં પડેલ કલર સાફ કરવા પાણી ઢોળવા મામલે બે પાડોશી પરિવારો બાખડતાં એકબીજાને લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આઠ જણા સામે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. સુનિલકુમાર રાજુભાઈ ભોઈએ ફરિયાદ નોંધાવી હતી કે તા.4-3-26ના રોજ બાજુમાં રહેતા માનવ મહેશભાઈ કહાર, તેની માતા માયાબેન અને પિતા મહેશભાઈ મથુરભાઈ કહાર અવારનવાર ઘર આગળ રોડ પર પાણી ઢોળ્યું હોવાથી માનવને પાણી ન ઢોળવા કહેવા જતાં અપશબ્દો બોલ્યા હતા. નાની ભાગોળ કહારવાસમાં રહેતા તેના કાકાના દીકરા નિખિલને ફોન કરી બોલાવતા નિખિલ ભરતભાઈ કહાર અને નેપાલી કાલિદાસ કહાર આવી ગયા હતા. તેમણે અપશબ્દો બોલી ઝઘડો કરી મારવા લાગ્યા હતા. આની વિરુદ્ધમાં અસ્મિતાબેન માનવભાઈ મહેશભાઈ કહારે ફરિયાદ નોંધાવી હતી કે ધુળેટીનો તહેવાર હોય અને ઘરના આંગણામાં કલર પડેલો હોવાથી સાંજે પાણી નાખી આંગણું સાફ કર્યું હતું પાણી ઘર આગળ રોડ ઉપર ગયું હોવાથી રાત્રે બાજુમાં રહેતા રાજુભાઈ બળદેવભાઈ ભોઈ પાણી ઢોળવા બાબતે અપશબ્દો બોલતા હોય અસ્મિતાબેનના સાસુએ રાજુભાઈને અપશબ્દો બોલવાની ના પાડતાં સુનિલભાઈ રાજુભાઈ ભોઈ, હરેશભાઈ રાજુભાઈ ભોઈ અને વિજયભાઈ રાજુભાઈ ભોઈ માયાબેનને લાકડીઓ ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:38 am

સા.કાં. ભાજપ પ્રમુખની કલેક્ટર અને એસપીને રજૂઆત‎:ઓવરલોડ નામે બટાકા ભરી જતી ટ્રકોને કનડગતમાંથી મુક્તિ આપો

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કરેલ બટાકા તૈયાર થઈ ગયા બાદ મોટાભાગના ખેડૂતો બટાકાનો જથ્થો વિવિધ ઠેકાણે કોલ્ડ સ્ટોરેજમાં મોકલવા માટે વાહનોમાં ભરી લઈ જઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના મોટાભાગના સ્થળે સ્થાનિક પોલીસ અથવા તો આરટીઓના અધિકારીઓ આવા બટાકા ભરેલા વાહનોને અટકાવી ઓવરલોડ હોવાનું કહીને દંડનીય કાર્યવાહી કરી રહ્યા હોવા અંગે સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખે કલેક્ટર તથા એસપીને રજૂઆત કરી આરટીઓ અને પોલીસતંત્રની ઓવરલોડના નામે થતી કનડગત દૂર કરવા માંગ કરી હતી. ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ વિવિધ કંપનીઓ સાથે બટાકાનું વાવેતર કરવા કોન્ટ્રાકટ કરી કંપનીઓ પાસેથી વિવિધ જાતના બિયારણ ખરીદ્યા બાદ વાવેતર કરી દીધું હતુ. હાલમાં ખેડૂતોએ બટાકા પાકીને તૈયાર થઈ જતાં અને ભાવ મળતા ન હોઈ તેને સાચવવા વાહનો મારફતે કોલ્ડ સ્ટોરેજમાં મુકવા લઈ જઈ રહ્યા છે. ખેડૂતોની લાચારીનો લાભ લઈ આરટીઓ તથા પોલીસતંત્ર આવા વાહનોને અટકાવી ઓવરલોડના નામે દંડ વસુલી રહ્યું છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જો મોટા ટ્રકની વહન કરવાની ક્ષમતા 500 કટ્ટા હોય પરંતુ ખેડૂત પાસે 15-20 કટ્ટા વધે તો ખેડૂત વાહનચાલકને સમજાવી આ કટ્ટા ટ્રકમાં મોકલી આપે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:37 am

સ્માર્ટ મીટરનો વિરોધ:હિંમતનગર પંથકમાં સ્માર્ટ મીટરથી હાલાકી બિલની જાણ ન હોઇ વીજ સપ્લાય બંધ કર્યો

હિંમતનગર શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવી દીધા બાદ ગ્રાહકને બિલની જાણ ન થતાં પેમેન્ટ જમા ન થવાને કારણે કનેક્શન કપાઈ જતાં રોષે ભરાયેલા અનેક લોકો મોતીપુરા કચેરીએ ઊમટ્યા હતા અને આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં ઓનલાઇન પેમેન્ટ ભરવા છતાં પણ વીજ સપ્લાય પુનઃ ચાલુ થવામાં સમય નીકળે છે. હડિયોલના અમૃતભાઈ કાલિદાસ દરજીએ જણાવ્યું કે હું 75 વર્ષનો છું મને સવારે ખબર પડી કે મારા ઘરમાં લાઈટ નથી. મારે કોઈ મેસેજ પણ આવ્યો નથી. બિલ મળતાં જ હું 24 કલાકમાં બિલ ભરી દઉં છું. હેલ્પરને પૂછ્યું કે મારે લાઈટ ચાલુ છે કેમ નથી તો તેણે કહ્યું કે મીટર સુધી લાઈટ છે તમારું બિલ બાકી હોવાથી વીજ સપ્લાય બંધ કરાયો છે. કચેરીએ જઈ બિલ ભરવું પડશે અમારે કચેરીએ ધક્કા ખાવાના હોય તો આ સ્માર્ટ મીટર લગાવવાનું મતલબ શું છે મારી પાસે કોઈ સાધન નથી. બધાની હવે એક જ માંગ છે સ્માર્ટ મીટર કાઢી નાખો અમારે કોઈ જરૂર નથી. હાજીપુરમાં રહેતા જીગીશાબેન શાહે જણાવ્યું કે 4 મહિના પહેલા બાલાજી પાર્ક સોસાયટીમાં જીઇબી વાળા મીટર લગાવતા હતા મેં પૂછ્યું હતું કે આ સ્માર્ટ મીટર છે કે સાદુ મીટર છે તેમણે સાદુ મીટર હોવાનો ખોટો જવાબ આપ્યો હતો. ખોટું બોલી સ્માર્ટ મીટર લગાવી ગયા છે અત્યારે ઓનલાઇન બિલ ભર્યા પછી પણ લાઈટ ચાલુ નથી કરતા અને હેરાનગતિ ઉભી કરી છે અમારે સ્માર્ટ મીટર જોઈતું જ નથી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:35 am

મહિનાની વાતચીત:હિંમતનગર પાલિકાના CO ઉપેન્દ્ર ગઢવી સાથે તેમના સંઘર્ષ, પરિવારનો સપોર્ટ અને શહેરમાં કામગીરીને લઇ સવાલ -જવાબ‎

હિંમતનગર નગરપાલિકામાં તા.26-02-24 ના રોજ ચીફ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળનાર ઉપેન્દ્ર ગઢવી કર્મચારીઓ અને શહેરીજનો માટે સરળતાથી મળી શકાય તેવું વ્યક્તિત્વ વ્યવહાર ધરાવે છે. સતત 8 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી 16 વર્ષમાં 9 પાલિકામાં ફરજ બજાવી ઘડાઈ પણ ગયા છે. શહેરની સમસ્યાઓ અને ફરજ દરમિયાન આવતા અવરોધોને કેવી રીતે પાર કરે છે. તેના નિરાકરણની બ્લુ પ્રિન્ટ તથા કામની વ્યસ્તતા વચ્ચે પરિવાર સાથે તાલમેલ કેવી રીતે જાળવે છે તે અંગે દિવ્યભાસ્કરના સવાલોના તેમણે આપેલ જવાબ અહીં પ્રસ્તુત છે. Q. આપની અત્યાર સુધીની જીવનયાત્રા અને કારકર્દીનો મહત્વનો વળાંક શેને માનો છો? આ માટે કોઇ ઉપલબ્ધી, એવી કોઇ ઘટના કે કિસ્સો હોય તો જણાવશો? A. વર્ષ 2002માં બી.ઈ.મિકેનિકલ એન્જિનિયરીંગ પૂર્ણ કરી ઈન્ડસ્ટ્રીમાં નોકરી ચાલુ કરી હતી. પરંતુ સરકારી નોકરીનું લક્ષ રાખ્યું હોવાથી જીપીએસસી, યુપીએસસીની પરીક્ષાઓ આપતો રહ્યો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ક્રોનીકલ મેગેઝીન આવતું હતું. તેમાં દશા ઔર દિશા વિષય પર હિન્દી નિબંધની યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતી હોવા છતાં દેશમાં પ્રથમ નંબર આવતા મારો ઉત્સાહ અને વિશ્વાસ ઉચ્ચસ્તરે પહોંચી ગયો અને વર્ષ 2010 માં સફળ થયો. 16 વર્ષમાં 9મી નગરપાલિકા છે. Q. આપની સંઘર્ષભરી જીવનયાત્રામાં આપના પરિવારે કઇ રીતે સપોર્ટ કર્યો? A. 10 થી 12 કલાક પરિવારથી દૂર રહેવું પડે છે પરંતુ પરિવાર મારી નોકરીને સમજે છે એક શહેરથી બીજા શહેર જઉ છું ત્યારે અનુકૂળ થવામાં પરિવારની સમજ સાર્થક બની રહે છે પરિવારના સપોર્ટ વગર શક્ય જ નથી. Q. પ્રેરણા કોણે આપી હતી? A. સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરી તે દરમિયાન વર્તમાન સા.કાં. ડીડીઓ હર્ષદભાઈ વોરાએ પાલનપુરમાં સેમિનારનું આયોજન કર્યુ હતુ. જેમાં હું પણ ગયો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી સરકારી નોકરી માટે આપેલ માર્ગદર્શનમાંથી પ્રેરણા મળી હતી. Q. અત્યાર સુધીની સફળતા માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવા માગતા હોય તો તે કોણ? A. માત્ર માતા. માતાએ અમને ત્રણેય ભાઈને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. સતત આઠ વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતો રહ્યો છતાં એક પણ વખત રોક્યો નથી ઉલટાનું પ્રોત્સાહન આપતા રહ્યા હતા. મારી સફળતાનો શ્રેય માત્ર મારી માતાને જાય છે. Q. અહીંથી ટ્રાન્સફર થાય તે પહેલા એવુ કયુ કાર્ય કરવું છે જેના થકી લોકો આપને યાદ રાખે. A. અગાઉ કહ્યું તેમ પાર્કિંગ, રખડતાં ઢોર, લારીઓ માટે કાયમી વ્યવસ્થા સહિત શહેરના સૌંદર્યીકરણ માટે મોતીપુરા સર્કલ પ્રવેશદ્વાર અને કેનાલ ફ્રન્ટ ફેઝ- 2નુ કામ કરવું છે. Q. કોઈ નિષ્ફળતા કે જેમાં શીખ મેળવી બાકી કામગીરીને સફળતા અપાવી હોય ? A. એક પાલિકામાં ફરજ બજાવવા દરમિયાન કોઈપણ કામ કરવામાં રાજકીય પદાધિકારીઓ દ્વારા અનેક અંતરાય ઉભા કરાતા હતા. કામ થઈ શકતું ન હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:હિંમતનગરમાં ટ્રાફિકના 11 પોઇન્ટ પર પોલીસ છતાં ટ્રાફિક થાય છે

હિંમતનગર શહેરમાં પોલીસ દ્વારા શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કુલ 11 ટ્રાફિક પોઈન્ટસ કાર્યરત કરાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકની ઘનતા અને ટ્રાફિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ન્યાય મંદિર વિસ્તાર, મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે, ટાવર ચોક, એસટી બસ સ્ટેશન, આરોગ્યનગરના નાકે, મોતીપુરા બાયપાસ, મોતીપુરા બ્રિજ નીચે, પોલિટેકનિક ત્રણ રસ્તા, સહકારી જીન વિસ્તાર, છાપરિયા ચાર રસ્તા અને મહાવીર નગર સર્કલ ટ્રાફિક પોઈન્ટ ઉપર સ્ટાફની ફાળવણી કરાઇ છે. . સામાન્ય રીતે દરેક ટ્રાફિક પોઈન્ટ પર 2 થી 3 TRB જવાનો, 1 પોલીસ કોન્સ્ટેબલ અને જરૂરિયાત મુજબ 1 થી 2 GRD જવાનો મૂકાયા છે. પીક અવર્સમાં અવારનવાર ટ્રાફિક થાય છે પોલિટેકનિક ચોકડી ખાતે સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી પોલીસ હાજર રહે છે. છતાં પીક અવર્સમાં અવારનવાર ટ્રાફિક જામ થાય છે. ન્યાય મંદિર ખાતે સવારે અને સાંજે વધારે ટ્રાફિક રહે છે. આ વિસ્તારમાં 2 ટીઆરબી અને 1 પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિકની ફરજમાં જોડાયેલા હોય છે. સાંજે ટીઆરબી જવાનો બાજુની હોટલમાં પાણી પીવા માટે ગયા હતા. જ્યારે કોન્સ્ટેબલ હાજર હતા. સવગઢ પાટિયા પાસે નજીકમાં જ પોલીસ સ્ટેશન છતાં ટ્રાફિકની સમસ્યા સહકારી જીન વિસ્તાર, છાપરિયા ચાર રસ્તા અને મહાવીર નગર સર્કલ વિસ્તારમાં સવારે અને સાંજે બે ટીઆરબી, બે જીઆરડી અને એક કોન્સ્ટેબલ હાજર હતા. સાંજના સમયે મહાવીરનગર સર્કલ ખાતે કોન્સ્ટેબલ તથા એક ટીઆરબી જવાન હાજર હતા. જ્યારે એક ટીઆરબીને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. સાંજના સમયે છાપરીયા ચાર રસ્તા ખાતે એક ટીઆરબી જવાન હાજર હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ મેમો બુક લેવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. મહેતાપુરા, સવગઢ પાટિયા તથા આરટીઓ સર્કલ ખાતે સવાર સાંજ ભારે ટ્રાફિક થાય છે. મહેતાપુરા ખાતે એક કોન્સ્ટેબલ મૂકાયો છે. પરંતુ અહીં ટ્રાફિકનું નિયમન બરાબર થતું નથી. સવગઢ પાટિયા પાસે નજીકમાં જ પોલીસ સ્ટેશન છતાં ટ્રાફિકની સમસ્યા ભયંકર બની રહી છે. પોલીસ હાજર છતાં ટ્રાફિક થાય છેશહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ જટીલ છે. વળી, ગિરધરનગર બ્રિજનો છેડો અને બસ સ્ટેશનનો મુખ્ય દ્વાર અડીને છે અને અહીં ટ્રાફિક પોઇન્ટ હોવા છતાં શટલીયા વાહનોનો દિવસ દરમ્યાન અડીંગો રહતો હોવાથી ભારે હાલાકી રહે છે. ટ્રાફિક નિયમન માટે બે ટીઆરબી તથા એક કોન્સ્ટેબલ હાજર હોય છે. તેની પાસે આવેલા આરોગ્યનગરના નાકે પણ એક ટીઆરબી તથા એક કોન્સ્ટેબલ હાજર હોય છે. આમ છતાં ટ્રાફિક થાય છે. બપોરના સમયે પણ ટ્રાફિક પોલીસ હાજરમોતીપુરા બાયપાસ પર બે ટીઆરબી, બે જીઆરડી તથા એક કોન્સ્ટેબલ અને કયારેક વધારે ટ્રાફિકની સ્થિતિમાં હેડ કોન્સ્ટેબલને પણ અહીં ટ્રાફિક વ્યવસ્થાપન માટે મૂકાયા છે. મોતીપુરામાં બ્રિજ નીચે એક ટીઆરબી, એક જીઆરડી તથા એક કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. અન્ય વિસ્તારોની જેમ અહીં પીક અવર્સની સાથેસાથે દિવસ દરમિયાન ટ્રાફિક રહેતો હોવાથી બપોરના સમયે પણ ટ્રાફિક પોલીસ હાજર રહે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:26 am

મહિનાની વાતચીત:પાલનપુર માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક એન્જિનિયર દિલીપભાઈ વીરજીભાઈ ચૌધરી સાથે સવાલ-જવાબ

પાલનપુર માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ વીરજીભાઈ ચૌધરી 2010માં સરકારી નોકરીમાં જોડાયા. પિતાજી 2012 માં જીએસટી અધિકારીથી નિવૃત થયા, તેમના પત્ની ઉર્મિલાબેન સિંચાઈ વિભાગમાં ફરજ બજાવે છે જ્યારે નાનાભાઈ પાટણમાં મામલતદાર પદે ફરજ બજાવે છે. જ્યારે કાકા ડિસ્ટ્રિક્ટ જજથી નિવૃત્ત થયા. આમ દિલીપભાઈનું આખું પરિવાર શિક્ષણ સાથે જોડાયેલું હોવાથી બાળપણથી ઘરમાં ભણવાનો માહોલ રહ્યો. ભાસ્કર સાથે વાતચીત દરમિયાન તેમને પરિવારની નોકરીની અને જે વિભાગની જવાબદારી વહન કરી રહ્યા છે તેના રોડ મેપની વિસ્તૃત વાતો કરી હતી. સવાલ: આપની જીવનયાત્રા, કારકિર્દીના મહત્વના પ્રસંગો અને સંઘર્ષ સાથે જોડાયેલા કિસ્સાઓ વિશે શું કહેશો? જવાબ: મારૂ વતન પાલનપુરનું સેદ્રાસણ ગામ. હું જ્યાં હાલ નોકરી કરું છું તે કચેરીની નીચે જ મારા પિતા જીએસટીમાં અધિકારી હતા. 2012માં તેઓ નિવૃત્ત થયા. પરિવારનો સંપૂર્ણ માહોલ શૈક્ષણિક મારા દાદા આમ ખેડૂત પણ તેમને શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ એટલે તેમણે તેમના બંને દીકરાઓને ખૂબ ભણાવ્યા. તેઓ હંમેશા કહેતા કે બૌદ્ધિક વિકાસ કરવો હોય તો ઘર કે ગામ છોડી દો. મેં સિવિલ એન્જિનિયરિંગ એટલા જ માટે કર્યું કે ભવિષ્યમાં પોતાનું કંઈક કરી શકીએ. સિવિલ એન્જિનિયરિંગનો કિસ્સો એવો યાદ છે કે મને એક માર્ક્સ ઓછો હતો એટલે સિવિલ ઇજનેરમાં એડમિશન નહોતું મળ્યું મારે એક વર્ષ રાહ જોવી પડી હતી. સવાલ: આપની કારકિર્દીમાં કેવા પ્રકારના સંઘર્ષો આવ્યા અને તેમાં પરિવારે કેવી રીતે સપોર્ટ કર્યો.? જવાબ: સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં બે વર્ષની ફી 39, 800 એક સાથે ભરવાની હતી. મને આજે પણ એ વાતનો ગર્વ છે કે મારા પરિવારે મને ભણાવવા માટે દાગીના વેચી દીધા હતા. આજે હું જે કાંઈ છું તે માત્ર પરિવારના લીધે છું. સવાલ: કાર્યપાલક ઇજનેર તરીકે હાલ કેવા પ્રકારની કામગીરીને પ્રાથમિકતા આપી રહ્યા છો કઈ કઈ બાબતો અડચણરૂપ બને છે..? જવાબ: સરકારી નોકરીમાં જોડાવાની પહેલા હું આ જ વિભાગની સાથે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો એટલે હું એ બહુ સારી રીતે જાણું છું કે જે એજન્સી કામ લે છે તેને કેવા પ્રકારની મુશ્કેલી આવી શકે છે. રહી વાત પ્રાથમિકતાની તો હાલ પાલનપુરને ટ્રાફિક મુક્ત બનાવવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે. બાયપાસ ખૂબ ઝડપથી બની રહ્યો છે. અનેક અડચણ હતી તે ધીરે ધીરે દૂર થઈ રહી છે. અમદાવાદમાં એરપોર્ટ રોડ જે રીતે ડિઝાઇન થયો છે એ જ ડિઝાઇનર પાસે આપણે પાલનપુર 8 લેન રોડ પ્રોજેક્ટ ડિઝાઇન કરાવ્યો છે, કલેકટર કચેરીનું કામ આવનારા બે મહિનામાં શરૂ થઈ જશે. સરકારી વસાહતના 17 બ્લોક ખાલી કર્યા છે હાલ 5 બ્લોકમાં 50 પરિવારો રહે છે. આવનારા સમયમાં અહીં પણ અત્યાધુનિક બ્લોક બનાવવામાં આવશે. એટલે પાલનપુરના લોકોને આવનારા સમયમાં કંઈક નવું મળશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:22 am

ભૂદેવો અને સર્વસમાજના આગેવાનોએ આપ્યું આવેદન:અંબાજીમાં આઉટસોર્સથી પૂજારીની ભરતીનો વિરોધ

અંબાજી મંદિર ખાતે દેવસ્થાન ટ્રસ્ટમાં આઉટસોર્સિંગ પદ્ધતિથી પૂજારીઓની ભરતી કરવાની શક્યતા સામે સ્થાનિક ભૂદેવો તથા સર્વસમાજના આગેવાનોમાં અસંતોષ વ્યક્ત થયો હતો. આ મુદ્દે 5 માર્ચ 2026ના રોજ અંબાજીમાં ભૂદેવો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અંબાજીના પંડિતો સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે અંબાજી દેવસ્થાનમાં પૂજારીની ભરતી પરંપરાગત અને ધાર્મિક પરંપરાને અનુરૂપ રીતે થવી જોઈએ અને આઉટસોર્સિંગ પદ્ધતિથી ભરતી કરવી યોગ્ય નથી. રજૂઆત બાદ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરફથી પ્રતિનિધિઓને ખાતરી આપવામાં આવી હતી કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં પૂજારીઓની ભરતી આઉટસોર્સિંગ પદ્ધતિથી કરવામાં નહીં આવે. આ ખાતરી મળતા ઉપસ્થિત ભૂદેવો અને આગેવાનોમાં સંતોષ વ્યક્ત થયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:15 am

દર વર્ષે 10 લાખ રોપાઓ તૈયાર થશે:ડાવસમાં 3.5 કરોડના ખર્ચે 13 એકરમાં નર્સરી બનશે

ડીસાના ડાવસમાં રૂ. 3.5 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ નર્સરી ઉભી કરવામાં આવી રહી છે. 13 એકર વિસ્તારમાં બનનાર આ નર્સરીમાં દર વર્ષે 10 લાખથી વધુ ગુણવત્તાસભર રોપાઓ તૈયાર થશે, જેના દ્વારા વનીકરણ, દુર્લભ વનસ્પતિ સંરક્ષણ અને પર્યાવરણ જતનને મહત્વપૂર્ણ વેગ મળશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગ્રીન કવર વધારવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે ડીસા તાલુકાના ડાવસ ગામે રૂપિયા 3.5 કરોડના ખર્ચે 13 એકર વિસ્તારમાં અદ્યતન હાઇટેક નર્સરી ઉભી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. આ નર્સરી સમગ્ર રાજ્ય માટે એક મોડેલ પ્રોજેક્ટ બની શકે તેવું માનવામાં આવે છે.નર્સરીમાં આધુનિક ટેકનોલોજી અને નિયંત્રિત વાતાવરણ હેઠળ દર વર્ષે અંદાજે 10 લાખથી વધુ રોપાઓ તૈયાર કરવામાં આવશે. છોડના ગુણવત્તાસભર વિકાસ માટે મીસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલીહાઉસ અને નેટહાઉસ જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ સુવિધાઓના કારણે પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનો વિકાસ સુરક્ષિત અને ઝડપી રીતે શક્ય બનશે. ખાસ કરીને લુપ્ત થવાના આરે આવેલી વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણ માટે સોઇલ-લેસ મીડિયા જેવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. છોડના વિકાસ માટે ઓર્ગેનિક ખાતર તૈયાર કરાશે આ પ્રોજેક્ટમાં સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ યુનિટ પણ ઉભા કરાશે, જ્યાં દુર્લભ અને કિંમતી બીજોને વૈજ્ઞાનિક રીતે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય. સાથે જ નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓને વનસ્પતિ અને વનીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ મારફતે ઓર્ગેનિક ખાતર પણ તૈયાર કરવામાં આવશે, જે છોડના સ્વસ્થ વિકાસમાં મદદરૂપ બનશે. હાલ વિલાયતી બાવળને દૂર કરવાનું કામ ચાલુ છે‎ડાવસ ગામના સરપંચ ધર્માભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ વર્ષોથી વેરાન રહેલી‎જમીન હવે હરિયાળીથી ખીલી ઉઠશે. હાલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવેલા‎વિલાયતી બાવળને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. નર્સરી શરૂ થતાં સ્થાનિક‎યુવાનોને રોજગારની તકો મળશે તેમજ આ વિસ્તાર ભવિષ્યમાં પર્યટન સ્થળ તરીકે‎પણ વિકસી શકે છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ માટે‎મહત્વપૂર્ણ યોગદાન આપશે.‎

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:14 am

મહિનાની વાતચીત:જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જેસ્મીન સાથે તેમના સંઘર્ષ, પરિવાર સપોર્ટ અને વિઝનને લઇ સવાલ-જવાબ‎

ડૉ. હસરત જેસ્મીન છેલ્લા બે વર્ષથી મહેસાણા‎જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવી રહ્યાં છે.‎એમબીબીએસ કર્યા પછી ગ્રામ્ય ક્ષેત્રોમાં તાલીમ‎દરમિયાન સરકારની યોજનાઓ કેવી રીતે‎છેલ્લા માનવી સુધી પહોંચે, આ વિચાર તેમને‎આઈએએસ અધિકારી બનવા પ્રેરણા આપી.‎ વ્યવસાયે તબીબ હોવા છતાં, સમાજમાં વ્યાપક‎પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે તેઓ‎સનદી સેવામાં જોડાયાં. પંજાબના લુધિયાણાથી‎શરૂ થયેલી તેમની સફર આજે ગુજરાતના‎વહીવટી તંત્રમાં એક મજબૂત ઓળખ બની છે.‎ Q: આપની જીવન યાત્રા અને‎કારકિર્દીનો મહત્વનો વળાંક કયો ?.‎A : મારો રોડમેપ પહેલાથી જ નક્કી‎હતો. UPSCની તૈયારી એ એક સંઘર્ષ‎છે, જેમાં ધીરજ, શિસ્ત અને સચોટ ‎‎અભ્યાસની જરૂર હોય છે.‎એમબીબીએસ પછી જ્યારે હું તાલીમ ‎‎મેળવતી હતી, ત્યારે ગ્રામીણ તાલીમ ‎‎દરમિયાન મને સમજાયું કે લોકો સુધી ‎‎સરકારી યોજનાઓ કેવી રીતે પહોંચે‎છે. ત્યાંથી જ મને જનસેવામાં જવાની ‎‎પ્રેરણા મળી.‎ Q : આપનો સંઘર્ષમાં પરિવાર કેવી રીતે‎મદદરૂપ રહ્યો?‎A : મારા માતા-પિતા, ભાઈ અને‎સંપૂર્ણ પરિવાર જ મારી સૌથી મોટી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎તાકત રહ્યા છે. તેમણે મારા દરેક‎નિર્ણયમાં મજબૂત ટેકો આપ્યો છે.‎ Q : મહેસાણામાં કયા મહત્વના પ્રકલ્પો‎પર કાર્ય કર્યું?‎A : મહેસાણામાં અમે સુપોષિત‎મહેસાણા''ના લક્ષ્ય સાથે ઘણું કાર્ય કર્યું‎છે. ખાસ કરીને સગર્ભા માતાઓના‎સ્વાસ્થ્ય માટે અમે સર્વગ્રાહી દેખરેખ‎પ્રણાલી ઊભી કરી છે. જેમાં માતાની‎નોંધણીથી લઈને પ્રસૂતિ અને‎ત્યારબાદની સંભાળનો સમાવેશ થાય‎છે. આ ઉપરાંત, જુવેનાઈલ‎ડાયાબિટીસ, લોહીની ઉણપ‎(એનિમિયા) અને પંચાયતોને આર્થિક‎રીતે સ્વનિર્ભર બનાવવા માટે પણ અમે‎ખાસ પ્રયાસો કર્યા છે.‎ Q : આ હોદા પર કામ કરવામાં સૌથી‎રોચક વાત અને મોટો પડકાર શું છે?‎A : રસપ્રદ વાત એ છે કે, લોકો અહીં‎ખૂબ જ સહાયક છે. જ્યારે કોઈ મહિલા‎અધિકારી સામે હોય ત્યારે ગ્રામીણ‎વિસ્તારની મહિલાઓ વધુ સહજતાથી‎પોતાની વાત કહી શકે છે. અમે પણ‎તેમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ‎નિસંકોચ બોલે. વહીવટમાં પડકારો તો‎હોય જ. જેમ, વર્ષો જૂની માન્યતાઓને‎બદલવામાં સમય લાગે છે, પરંતુ‎હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરીએ‎તો ચોક્કસ પરિણામ મળે છે.‎ Q : જ્યારે પણ આ જિલ્લામાંથી વિદાય‎લો તો એવું શું કામ કર્યું છે કે લોકો‎આપણે યાદ રાખે?‎A : (સ્મિત સાથે) એ તો પ્રજા નક્કી‎કરશે. પરંતુ યાદ હંમેશા પ્રેમ અને‎કરેલા કાર્યથી જ આવતી હોય છે. કાર્ય કર્યું છે, મને ચોક્કસ આશા‎છે કે મહેસાણાના લોકો મને‎યાદ રાખશે. મારું ધ્યાન હંમેશા‎અંતિમ ઉપયોગકર્તા એટલે કે‎છેવાડાના માનવીને યોજનાનો‎લાભ મળે તેના પર રહ્યું છે.‎ Q : કામની વ્યસ્તતા વચ્ચે‎પરિવાર અને શોખ માટે સમય‎કેવી રીતે ફાળવો છો?‎A: કામ અને અંગત જીવન‎વચ્ચેનું સંતુલન ખૂબ જરૂરી છે.‎જ્યારે પણ સમય મળે, હું મારી‎દીકરી સાથે સમય વિતાવું છું.‎તેને ભણાવવું અને તેની સાથે‎રમવું મને ખૂબ ગમે છે. આ‎ઉપરાંત મને મારા શોખ માટે‎સમય કાઢવો પણ ગમે છે,‎જેનાથી મન પ્રફુલ્લિત થાય છે‎અને નવા વિચારો મળે છે.‎ Q : આપની પાસે હોદ્દો, સત્તા,‎પાવર અને સમસ્ત સિસ્ટમ છે‎છતાં કોઈ કામ કરવામાં‎કઠિનાઈ અનુભવો છો?‎A : જ્યારે પણ અમારી પાસે‎કોઈ પ્રશ્ન અથવા તો સમસ્યા‎લઈને આવે તો પહેલા‎સાંભળીએ છીએ. પછી‎નિરાકરણ પર જઈએ છીએ.‎રોજ નવા પ્રશ્નો આવે છે.‎સરકારની સિસ્ટમ પણ બહુ‎સારી છે. છતાં પ્રશ્નનું‎નિરાકરણ ના આવે તો‎માર્ગદર્શન માટે સરકારમાં‎મોકલીએ. મોટા ભાગે કામ‎કરતાં કરતાં નિરાકરણ આવી‎જ જાય છે.‎

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:08 am

સરપંચ દ્વારા નવું સ્ટેન્ડ બનાવવા રજૂઆત કરાઈ:ધારપુરમાં 40 વર્ષ જૂનું પીકઅપ સ્ટેન્ડ જર્જરિત

ધારપુર ગામમાં આવેલું બસ સ્ટેન્ડ 40 વર્ષ જૂનું હોઈ હાલમાં અત્યંત જર્જરિત થઈ ગયું છે. અને ગમે ત્યારે મોટી હોનારત સર્જાય તેવી ભીતિ વચ્ચે ગ્રામજનો અને સરપંચ દ્વારા તંત્રને ભયજનક બાંધકામ ઉતારી નવું પીકઅપ સ્ટેન્ડ બનાવવા રજૂઆત કરી છે. પાટણ ઊંઝા હાઈવે માર્ગ ઉપર આવેલ ધારપુર ગામનું બસ સ્ટેન્ડ 40 વર્ષ જૂનું છે અને છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ જર્જરીત થઈ ગયું છે. ગામના સરપંચ હંસાબેન માંડણભાઈ દેસાઈ તથા ગ્રામજન રસિકભાઈ પટેલે આ મામલે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને રજુઆત કરતા ચેરમેન દ્વારા તાત્કાલિક અસરથી પાટણ ડેપો મેનેજર,સિદ્ધપુર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ પાટણ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી છે. ધારપુરના સરપંચે જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડના સ્લેબનો ભાગ જર્જરિત થયો હોય ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે.ઉનાળાની ગરમીથી બચવા મુસાફરો અને વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડનો સહારો લે છે. તો સુરક્ષાને ધ્યાને રાખી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ કાટમાળ દૂર કરી આધુનિક સુવિધા ધરાવતું નવું બસ સ્ટેન્ડ મંજૂર કરવા માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:03 am

મહિનાની વાતચીત:પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા સાથે પરિવાર સરકારી સેવા અને વિઝન પર સવાલ-જવાબ

પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા પ્રાથમિક શિક્ષણનો વહીવટી કાર્યભાર સંભાળી રહ્યા છે.જિલ્લામાં આવેલ પ્રાથમિક શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ માટે તેમના વિકાસ માટે શુ બ્લુ પ્રિન્ટ છે.અને તેમના સંઘર્ષની કહાની વાંચો દિવ્ય ભાસ્કરના સવાલો અંગે તેમના આપેલા જવાબ. સવાલ: જિલ્લા શિક્ષણ અધિસવાલ:કારી બનવા પરિવારમાંથી કોણે પ્રેરણા આપી હતી?જવાબ: મારા પિતાશ્રી પાટણ જિલ્લાની કાંસા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. મારા પિતાશ્રી, કે જેઓ આજે હયાત નથી, તેમની પ્રેરણાથી જ હું જિ.શિ.અધિ. બન્યો છું. ધો 1 થી 7 પાટણની બગવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો આજે એ જ જિલ્લામાં જિ.પ્રા.શિ. અધિકારી બન્યો તેનો ગર્વ છે. સવાલ: આપની અત્યાર સુધીની જીવન યાત્રા અને કારકિર્દીનો વળાંક શેને માનો છો? એવી કોઈ ઘટના કે કિસ્સાનું વર્ણન કરો.જવાબ: હું D.Pharm કરી જ્યારે B.Sc. માટે એક કોલેજમાં પ્રવેશ લેવા માટે પિતાજી સાથે પ્રિન્સિપાલની મુલાકાત કરવા ગયો હતો, ત્યારે પ્રિન્સિપાલે મારા પિતાજીનું અપમાન કરેલું. ત્યારથી જ જીવનમાં નક્કી કરેલું કે ટકાવારી જ એટલી લાવવી કે કોઈને ભલામણ કરવી પડે નહી. સવાલ: એવી કોઈ નિષ્ફળતા કે જેમાંથી તમે શીખ મેળવી સફળતા મેળવી હોય? જવાબ: હું પ્રથમ વખત ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 ની પરીક્ષા પાસ કરી ઇન્ટરવ્યુમાં 1 માર્કસ માટે વેઈટિંગમાં આવેલ ત્યારે ઘણો જ અફસોસ થયેલો. પરંતુ માતા-પિતાના આશીર્વાદ અને કુદરતની મહેરબાનીથી એક ઉમેદવાર અન્ય જગ્યાએ જવાથી એક જગ્યા ખાલી પડેલ, પરંતુ GPSC દ્વારા વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં ના આવતા મેં હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને જિ.શિ.અધિ. તરીકે નિમણૂંક મેળવી હતી. સવાલ: જિલ્લા શિક્ષણ અધિકારી પાટણના પદે થી વિદાય લો તે પહેલાં એવું કયું મોટું કાર્ય કરવા માંગો છો, જેના થકી લોકો આપને યાદ કરે?જવાબ: જિલ્લાના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે CET, NMMS, જ્ઞાન સાધના વગેરેમાં ઉત્તમ પરિણામ લાવે અને ભવિષ્યમાં IAS અને IPS જેવા ઉચ્ચ પદ પ્રાપ્ત કરે તેવું કાર્ય કરવાની મારી ઈચ્છા છે. સવાલ: આપની દ્રષ્ટિએ જિલ્લાની/ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા કે લોકોનું દર્દ શું છે? આપની પાસે તેના ઉકેલની બ્લુપ્રિન્ટ કે યોજના શું છે?જવાબ: પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને દીકરીઓનું માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ-આઉટ રેશિયો વધુ છે તે મોટી સમસ્યા છે. સવાલ: પાટણ જિલ્લાની સરકારી શાળાઓમાં સતત સંખ્યાઓ ઘટે છે તો તેની સંખ્યા વધારવા માટે તમારી પાસે કોઈ આયોજન છે?જવાબ: દર વર્ષે ડિસેમ્બર માસથી જ સર્વેની કામગીરી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા ટેલી મેપિંગ કરી કોઈ વિદ્યાર્થી શિક્ષણ ના છોડે તેવી સમજ આપવામાં આવે છે સવાલ: જિલ્લામાં સરકારી શાળાઓ આધુનિક‎અને સુવિધા સંપન્ન બને તેના માટે કોઈ બ્લુ‎પ્રિન્ટ પ્લાન બનાવ્યો છે?‎જવાબ: વિવિધ ગ્રાન્ટમાંથી સ્માર્ટ રૂમ, RO વોટર‎કુલર, કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન‎પ્રયોગશાળા જેવી સુવિધાઓ આપવામાં‎આવે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:02 am

વાતાવરણ:મહત્તમ તાપમાન 33 ડિગ્રી,ગરમીનો દૌર..

જામનગરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ સુર્યદેવતા કોપાયમાન બની રહ્યા હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીએ સ્થિર થયો છે. લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો છે. પરંતુ મધ્યરાત્રીથી પરોઢીયા સુધી ઠંડક રહે છે. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળો પણ વકર્યો છે. છેલ્લા સપ્તાહથી સુર્યદેવતાએ આકરો મિજાજ દેખાડી રહ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ સ્થિર રહ્યું છે. તો લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે 21 ડિગ્રી નોંધાયું છે. સુર્યદેવતાએ ઉનાળાના પ્રારંભ સાથે જ આકરો મિજાજ દેખાડી રહ્યા છે અને બપોરના સમયે લોકો ગરમીમાં અકળાઈ ઉઠે છે. તો ભેજનું પ્રમાણ છેલ્લા ચોવીસ કલાકમાં 12 ટકાના વધારા સાથે 77 ટકા નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિકલાકના પાંચથી દશ કિ.મી.ની રહેવા પામી હતી. હાલ આખો દિવસ ગરમી રહ્યા બાદ સંધ્યા ઢળતા જ ઠંડક પ્રસરી જાય છે અને મધ્યરાત્રીથી પરોઢીયા સુધી વાતાવરણમાં ઠંડક રહે છે. જેના કારણે હાલ મિશ્રઋતુથી રોગચાળો પણ વકરી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

હીટ એન્ડ રન:સમર્પણ સર્કલ પાસે 2 બહેનોને કારની ઠોકર, નાની બહેનનું મોત

જામનગરના સમર્પણ સર્કલથી આગળ હીટ એન્ડ રન કેસમાં નાની બહેનનું મોત નિપજ્યું છે. જ્યારે મોટી બહેનને ઈજા પહોંચ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર ચાલકની પોલીસે શોધખોળ આરંભી છે. શહેરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીક કોમલનગર સામે રહેતા અમરીબેન તુલસીભાઈ મકવાણા (ઉ.વ.39) અને તેમના નાના બહેન યશોદાબેન (ઉ.વ.25) ગત તા.27ના બપોરના સમયે સમર્પણ સર્કલથી માધવ ફાર્મ સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ફુલ સ્પીડમાં આવતા કાર ચાલકે બન્ને બહેનોને અડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને નાશી છુટ્યો હતો. આ દરમિયાન મહિલાઓના પરિવારજનો સહિતના લોકો એકઠા થઈ ગયા હતા અને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં મોટી બહેનને જમણા હાથમાંઘ ખંભાથી નીચે ફેક્ચર તથા આંખ પાસે અને શરીરે છોલછાલની ઈજા પહોંચી હતી. નાની બહેન જશોદાબેનને પેટના ભાગે તેમજ કમરના ભાગે અને માથાના ભાગે ગંભીર પહોંચી હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની ઈજાગ્રસ્ત અમરીબેનએ પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને પીએસઆઈ એમ.એન.ઝાલાએ તપાસ હાથ ધરી છે. કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અકસ્માતના કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના વાહનોની સતત અવર-જવર હોવા છતાં પુરપાટ આવતી કારે ભરબપોરે અકસ્માત સર્જીને નાશી છુટ્યો હતો. પરંતુ કોઈએ તેને રોકવાની પણ કોશિષ ન કરી હોય, તેમ કાર લઈને આરોપી પલાયન થઈ ગયો હતો. પરંતુ પોલીસે તેની ઓળખ કરી લીધી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

આયોજન:વેરો નહીં ભરનારાની મિલ્કતો જપ્ત કરવા જામ્યુકોની તૈયારી

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાની વસૂલાત કરવામાં આવે છે, તેમ છતાં અસંખ્ય લોકોએ વેરો ભરપાઈ કર્યો ન હોવાથી કરોડો રૂપિયા બાકી છે. જેની વસુલાત માટે તંત્રએ લાલ આંખ કરી છે અને વેરો નહીં ભરનાર આસામીની સ્થાવર/ જંગમ મિલકત જપ્તિમાં લેવા અને પાણી પુરવઠો બંધ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી કરી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો, પાણી વેરો સહિતના અનેક પ્રકારના વેરા વસૂલવા માટે જુદી જુદી સ્કીમ પણ આપવામાં આવે છે, અને વ્યાજ માફી સહિતની યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. તેમ છતાં અનેક આસામીઓ દ્વારા કરોડો રૂપિયાનો વેરો ભરપાઈ કરવામાં આવતો નથી. જો કે, મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે મિલકત જપ્તિ અંગેના પગલાં પણ લેવામાં આવતા રહે છે. આમ છતાં પણ અનેક આસામીએ વેરો ભરપાઈ નહીં કરતા હવે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે, અને બાકીદારોના ઘરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. ઉપરાંત સ્થાવર/જંગમ મિલકત પણ જપ્તિમાં લેવામાં આવશે. તે અંગેની સત્તાવાર નોટીસ પણ પ્રસિદ્ધ કરી છે. આવા આકરા પગલાંથી બચવા તા. 31 માર્ચ 2026 પહેલા 100 ટકા વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો હોય, બાકીદારોએ સત્વરે પોતાનો વેરો ભરપાઈ કરી શકે છે. અન્યથા મિલ્કતો સીલ કરવા ઉપરાંત પાણી પુરવઠો બંધ કરવા સહિતના આકરા પગલા લેવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી આગામી દિવસોમાં વેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને મિલ્કત વેરો નહીં ભરનારની મિલ્કતો સીલ કરવામાં આવશે, તેમજ પાણી વેરો નહીં ભરનારના નળ જોડાણો પણ કટ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ચૂંટણી:જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં 65 ટકા (1265 મત) મતદાન

ગુજરાતના બાર કાઉન્સિલના આગામી પાંચ વર્ષના 23 ઉમેદવારોની વરણી માટે શુક્રવારે રાજ્યભરમાં મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 23 સીટ માટે કુલ 99 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. જેમાં જામનગરના 5 વકીલોએ પણ ઉમેદવારી નોંધાવી છે. આજે સવારથી શરૂ થયેલા મતદાનમાં જામનગરમાં 1265 વકીલોએ મતદાન કરતા 65 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત બાર કાઉન્સિલના 23 સભ્ય ઉપરાંત બે કો. ઓપ્ટ. સભ્યની નિમણૂક થશે. તેથી પચ્ચીસ સદસ્ય આગામી પાંચ વર્ષ માટે ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતની ચૂંટણીમાં રાજ્યભરમાંથી 104 ઉમેદવાર-એડવોકેટ્સે ફોર્મ ભર્યા હતા. જેમાંથી બે ફોર્મ રદ્દ થયા હતા અને બે ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા હતા. રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી 99 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમાં જામનગરના પાંચ એડવોકેટ પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે જામનગર શહેરના 1340 એડવોકેટ્સ મળી જિલ્લાના કુલ 1867 મતદાર એડવોકેટ્સ નોંધાયેલ છે. શુક્રવારે સવારથી જામનગરની જિલ્લા અદાલતની ઈમારતમાં વકીલ મંડળના હોલમાં મતદાન શરૂ થયું હતું. પ્રારંભ સાથે જ મતદારોએ મત આપવા માટે ભીડ જમાવી હતી. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 65 ટકા મતદાન થયું હતું. 1265 એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આગામી તા.9ના મતગણતરી કરવામાં આવશે. જેથી હાલ વકીલ મંડળમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે. બાર કાઉન્સિલ ચુંટણીમાં વકીલો વચ્ચે બોલાચાલી બાદ ફડાકાવાળી જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચુંટણીમાં સવારથી મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજના પડતા એક નોન-પ્રેક્ટિસનર વકીલ મતદાન કરવા આવતા સિનિયર વકીલે તેમનું આઈડી કાર્ડ માંગ્યું હતું. જેના કારણે વિવાદ વકર્યો હતો. બોલાચાલી થતાં ફડાકાવાળી પણ થતાં વકીલ મંડળમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

રાષ્ટ્રીય પરિષદ:જામનગરમાં ITRA ખાતે રસમીમાંસા નેશનલ કોન્ફરન્સમાં 300થી વધુ રસશાસ્ત્રીઓ જોડાયા

જામનગર આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા ખાતે શુક્રવારથી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ રસમીમાંસા -2026 નો પ્રારંભ થયો છે. જેમાં બે દિવસ દરમિયાન 300થી વધુ રસશાસ્ત્રીઓ, સંશોધકો, તજજ્ઞો, પ્રખ્યાત વૈદ્યઓ, વૈજ્ઞાનિકો, ઔદ્યોગિકો સહિતના ઉપસ્થિત રહેશે. જેમાં વૈજ્ઞાનિક ચર્ચાઓ, ક્લિનિકલ પૃથક્કરણ, સંશોધન પાત્રો, પોસ્ટરો પ્રદર્શિત કરાયા છે. જામનગરમાં ITRA ખાતે રસમીમાંસા-૨૦૨૬નો પ્રારંભ ITRA ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં બે દિવસીય આયોજનમાં વિવિધ આયોજનો કરાયા છે. જેમાં દેશભરમાંથી 300થી વધુ રસશાસ્ત્રીઓ, સંશોધકો, તજજ્ઞો, પ્રખ્યાત વૈદ્યો, વૈજ્ઞાનિકો, ઔદ્યોગિક આગેવાનો, નિષ્ણાતો, વિશ્વવિદ્યાલયના કુલપતિઓ અને આયુર્વેદના વિદ્યાર્થીઓની રસશાસ્ત્ર અંગેની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત થયા છે. તેમજ વૈજ્ઞાનિક ચર્ચાઓ, ક્લિનિકલ પૃથક્કરણ, સંશોધન પાત્રો પોસ્ટરો પણ પ્રદર્શિત કરાયા છે. આજે શનિવારે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ 5-નવતનપુરી ધામના કૃષ્ણમણીજી મહારાજના વરદ્દ હસ્તે થશે. તેમજ કલેકટર કેતન ઠક્કર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ તમામ કાર્યક્રમો ભારત સરકારના આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવના માર્ગદર્શન હેઠળ અને ITRAના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીના વડપણ હેઠળ યોજવામાં આવશે. રસમીમાંસા રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં દેશના ખ્યાતનામ આયુર્વેદ વૈદ્યો અને રસશાસ્ત્રીઓ ખાસ હાજરી આપશે અને ભાવી રણનીતિ તૈયાર કરશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ફરિયાદ:સાવરકુંડલામાં કેમ સામે જુએ છે કહી બે પક્ષ વચ્ચે મારામારી: 4 લોકો ઇજાગ્રસ્ત

સાવરકુંડલા શહેરના બીડીકામદાર સોસાયટીમાં ગઈકાલે સાંજના સમયે બે જૂથો વચ્ચે મામલો બિચક્યો હતો. મસ્જિદે નમાજ પઢીને પરત ફરી રહેલા યુવાનો વચ્ચે સામે જોવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં લોખંડની પાઇપ અને પંચ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. સાવરકુડલા બીડીકામદાર સોસાયટીમાં રહેતા રિઝવાન મહમદ જાંખરા (ઉ.વ. 27) અને તેમના મિત્ર નમાજ પઢીને રોશની પાનના ગલ્લે પહોંચ્યા હતા. ત્યારે સાદિક અયુબભાઇ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા. સાદિક તેમની સામે જોતો હોય, કેમ સામે જો છો ? પૂછતા સાદિક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ખિસ્સામાંથી પંચ કાઢી મારી દઈ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઇમરાન ચૌહાણ, રાજુ ગોરી અને રસુલ લોખંડની પાઇપ સાથે ધસી આવ્યા હતા. ઇમરાને પાઇપનો ફટકો મારી ઢીંકાપાટુનો માર માર્યો હતો. હવે સામા બોલશો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. સામા પક્ષે પણ સાદિક અયુબ ચૌહાણ (ઉ.વ. 19) એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે નમાઝ પઢીને ઘરે જતા હતા. ત્યારે હસન જીરૂકાએ તેમને ઉભા રાખી તુ કેમ અમારી સામે જો છો ? કહી ગળચી પકડી ઢીંકાપાટુનો માર માર્યો હતો અને રીઝવાન જાંખરા લોખંડની પાઇપ વડે સાદિકને વાંસામાં માર્યો હતો. સાથે ફરદીન જીરૂકા અને ફૈજાન જાંખરા પાઈપ અને ઈંટ લઇ મારવા દોડ્યા હતા. રિઝવાને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મુદ્દે હસન કાસમ જીરૂકા, રિજવાન મહમદ જાંખરા, ફરદી જીરૂકા, ફૈજાન જાંખરા, સાદિક ચૌહાણ, ઇમરાન રસુલ ચૌહાણ, રાજુ ગોરી, રસુલ મળી કુલ 8 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સુવિધા:વરસડામાં ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ

અમરેલીના વરસડામાં જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામા આવ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ પાણી પુરવઠા યોજના માટે 42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આર.સી.સી સંપ, વોટર ફિલ્ટર પ્લાન્ટ, પંપ હાઉસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના સાકાર થતાં અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ 50 ગામડાઓને શુદ્ધ પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. સાથે વરસડામાં હયાત તળાવનું 19 લાખના ખર્ચે રિનોવશન કામગીરી હાથ ધરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે તળાવના રિનોવેશન માટે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. વરસડામાં ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, તાલુકા વિકાસ અધિકારીઓ, અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

બેઠક:કુંડલા પાલિકાનું 182 કરોડનું બજેટ 22 વિરુદ્ધ 7 મતે મંજૂર

સાવરકુંડલા નગરપાલિકામાં 30 સદસ્યો ભાજપના છે અને પાંચ સદસ્યો કોંગ્રેસના છે. જેમાં બજેટ અંગેની બેઠકમાં ભાજપાના 22 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા છ સદસ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના પાંચ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષના નેતાએ બજેટને આંકડાકીય બજેટ ગણાવ્યુ છે અને બજેટમાં કરવામાં બતાવવામાં આવેલ ખર્ચમાં વિસંગતતા હોય ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારનો પણ આરોપ મૂક્યો છે. પરંતુ ભાજપની સંપૂર્ણ બહુમતી હોય કોંગ્રેસનો વિરોધ બહુ ટકી શક્યો નહીં .સાવરકુંડલા નગરપાલિકા સેન્ટ્રલ હોલ ખાતે આ સત્તા પક્ષની છેલ્લી જનરલ સભા યોજાઇ હતી. જેમાં આ બજેટ પસાર કરવામાં આવ્યું હતું. ₹182 કરોડનું આ અંદાજપત્ર ચર્ચા બાદ 22 વિરુદ્ધ 7 મતે મંજુર કરવામાં આવ્યું. કોંગ્રેસનો વિરોધ હોવા છતાં પણ વિનાવિઘ્ને બજેટ પસાર થયું હતું. શહેરમાં કરવામાં આવેલા વિકાસકામોનો ઉલ્લેખ પણ પાલીકા પ્રમુખે રજૂ કર્યો હતો.પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદીએ અઢી વર્ષ સુધીમાં મળેલા સહકાર બદલ દરેકનો આભાર માન્યો. . તસવીર સૌરભ દોશી ભાજપના બે સભ્યોએ પણ વિરોધ કર્યો કોંગ્રેસના ઉપસ્થિત સદસ્યોમાં નાસીરભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, અમીનાબેન બાવનકા, રાજે ભાઈ ચૌહાણ અને જયશ્રીબેન ભરાડ હતા. ભાજપના સભ્યો ફરીદાબેન શેખ અને ડી. કે. પટેલે બજેટના વિરુદ્ધમાં કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો.બજેટમાં કોંગ્રેસના પાંચ અને બે ભાજપના એમ સાત સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સુવિધા:સૌની યોજનાના પાણી મોણપુર અને ધારી પાસેના છતડીયા સુધી પહોંચ્યા

અમરેલીના મોણપુર મુકામે જિલ્લા પ્રભારી અને અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સૌની યોજના લિંક-5 પેકેજ-5 હેઠળ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં 27.84 લાખના ખર્ચે સ્કાવર વાલ્વ અને પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સુવિધા મારફત મોણપુર ગામનાં તળાવમાં અંદાજે છે''ક 350 કિ.મી દૂરથી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. સ્કાવર વાલ્વનુ લોકાર્પણ થતા પીવાના પાણી અને ખેતીવાડી સિંચાઈના ઉપયોગ માટે પાણીની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે, હવે પાણીની સમસ્યા કાયમી માટે ભૂતકાળ બનશે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે,મોણપુર મુકામે છેલ્લા પાંચ વર્ષથી પાણીની સમસ્યા હતી. વારંવાર રજૂઆતના અંતે અહીં સ્કાવર વાલ્વ મૂકવામાં આવતા અહીંની ખેતી સમૃદ્ધ થશે, ખેડૂતોને લાભ થશે. ચિત્તલ મુકામે ''જલ જીવન મિશન'' હેઠળ 2.33 કરોડના ખર્ચે ''નલ સે જલ'' યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી અંદાજે 218 ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ફરિયાદ:સાવરકુંડલામાં બળાત્કારના કેસમાં સમાધાન કરવા દબાણ કરી ધમકી

સાવરકુંડલામાં રહેતા એક વ્યક્તિને જૂના કેસમાં સમાધાન કરી લેવા માટે ધમકાવવાના મામલે પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અહીંના એક યુવકના ભાભીએ વર્ષ 2024માં ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં રાજુ ઉર્ફે રાજેશભાઇ બંસીદાસ હરીયાણી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં કાર્યરત છે. આ કેસમાં સમાધાન કરાવવાના ઈરાદે રાજુ ઉર્ફે રાજેશભાઇ, કેતનભાઇ બંસીદાસ હરીયાણી અને ધર્મેશભાઇ બંસીદાસ હરીયાણીએ અન્ય શખ્સોને ઉશ્કેરણી કરી હતી. ગત તારીખ 20/2 ના રોજ સાંજના આશરે 5:00 વાગ્યે, રાજુ અને તેના ભાઈઓની ચડામણીથી જયરાજભાઇ મોટીયાર તથા એક અજાણ્યો માણસ ફરિયાદીના ઘરે આવ્યા હતા. તેઓએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેઓને ધમકાવી જો તમે સમાધાન નહીં કરો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા‎ લેવાઈ:બેઝિક ગણિત, સમાજશાસ્ત્ર અને અંગ્રેજીના પેપરમાં ગેરરીતિ નહિ

નર્મદા જિલ્લામાં ધોરણ-10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ધોરણ-10માં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના છાત્રોનું શુક્રવારના રોજ બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર હતું. એસએસ.સીની ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં ગણિત વિષયમાં નોંધાયેલા કુલ 7693 વિદ્યાર્થીઓ પૈકી 7503 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 190 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહ સામાજશાસ્ત્ર વિષયમાં નોંધાયેલા કુલ 4230 પૈકી 4177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 53 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી વિષયમાં નોંધાયેલા કુલ 797 વિદ્યાર્થીઓ પૈકી 792 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 5વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. સવારે લેવાયેલી ધોરણ-10 અને બપોરે લેવાયેલી ધોરણ-12ની પરીક્ષામાં ગેરરિતીનો એક પણ કેસ નોંધાયો ન હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

તાપી નદીના પાણીના વધામણાં કરાયા:ચિકદા તાલુકાના 22 ગામના ખેડૂતોને હવે સિંચાઇ માટે પાણી મળી રહેશે

ભાસ્કર ન્યૂઝ | ચિકદા આદિવાસી બાહુલ્ય અને જંગલ વિસ્તાર ધરાવતાં નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના 22 ગામના ખેડૂતોને હવે સિંચાઇ માટે તાપી નદીના પાણી મળી રહેશે. રૂા.927 કરોડથી વધુના ખર્ચથી કરજણ લીંક પાઇપલાઇન ઉદવહન યોજના તૈયાર છે. આ યોજના હેઠળ તાપી નદીના નીર ચિકદા ખાતે આવી પહોંચતા વધામણા લેવામાં આવ્યાં હતાં. તાપી - કરજણ લીંક પાઈપ લાઈન ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત સિંચાઇનું પાણી ચીકદા ગામે તાપી મૈયાના નીર આવતા નીર પુજન કરી વધામણા કરવામાં આવ્યા હતા.અંદાજિત રૂપિયા 927 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ તાપી કરજણ લીંક પાઈપ લાઈન ઉદવહન સિંચાઈ યોજનાનું ચિકદા ગામે ટેસ્ટીંગ કરવામા આવ્યુ હતુ. આ ઉદવહન સિંચાઈ યોજનાથી ચિકદા તાલુકાના 22 થી વધુ ગામોના આદિવાસી ખેડુતોને સિંચાઈનો લાભ મળશે. ચિકદા સહિતના તાલુકામાં સિંચાઇ માટેની સુવિધાઓ ઓછી હોવાથી ખેડૂતો વરસાદી અથવા બોરના પાણી પર નિર્ભર છે. આ વિસ્તાર માટે આ યોજના આશિર્વાદ રૂપ નીવડશે. ચિકદા ગામ ખાતે તાપીના નીરને આ વિસ્તારના આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં. તાપી મૈયાના નીરનુ પુજન કરી વધામણા મરતા સૌએ આનંદની લાગણી અનુભવી તાપી મૈયાની જય બોલાવી શ્રીફળ વધેરી મો મીઠુ કર્યુ હતું. આ કાર્યક્રમ માં આંબાવાડી જિ.પં.સદસ્ય તેમજ માજી જીલ્લા પંચાયત પ્રમુખ પર્યુષા વસાવા, પુર્વ ધારાસભ્ય મોંતીસીહ વસાવા,બાંધકામ સમિતિના ચેરમેન ખાનસીંગ વસાવા, ચિકદા પંચાયતના સરપંચ લતાબેન,આંબાવાડી ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ દીપકભાઈ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. આ વિસ્તારના ખેડૂતોને હવે તાપી નદીના પાણી સિંચાઇ માટે મળવાના હોવાથી તેઓ સરળતાથી ખેતી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

યુનિટી આર્ટ‎વર્કનું આયોજન કરાયું:કેવડિયામાં દેશભરના 18 ચિત્રકારોનું કલા નિદર્શન

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. ટેન્ટસીટી ખાતે પ્રથમ વખત યુનિટી આર્ટ વર્કનું આયોજન થતાં તેમાં વિવિધ રાજયોના 18 ચિત્રકારોએ ભાગ લઇ તેમની કલાનું નિર્દશન કર્યું હતું. ચિત્રકળા સાથે વર્ષોથી સંકળાયેલાં ચિત્રકારોની કલાને રજૂ કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે કેવડિયામાં આર્ટ વર્કનું આયોજન કરાયું હતું. ચિત્રકળાને બહોળી પ્રસિદ્ધિ કેવી રીતે આપી શકાય તેની જાણકારી આપવામાં આવી છે. ચિત્રકામ માટે વિષયોની પસંદગી કેવી રીતે કરવી તેની માહિતી પણ ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ તરફથી આપવામાં આવી હતી. દોરેલાં ચિત્રને વધુ સારુ કેવી રીતે બનાવી શકાય અને તેના માટે શું કાળજી રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં ભાગ લઇ રહેલાં ચિત્રકારોએ અલગ અલગ વિષયોને સાંકળતા ચિત્રો રજૂ કર્યા હતાં. ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સેન્ટરના રવિન્દ્ર મરડિયાએ જણાવ્યું હતું કે, અલગ અલગ રાજ્યોમાંથી 18 જેટલા કલાકારો તાલીમમાં ભાગ લઇ રહયાં છે. ત્રણ આર્ટ ક્રિટિક્સ પ્રયાગ શુક્લ જોની એમ એલ, અશોક ભૌમિકે ખાસ હાજર રહીને તાલીમ આપી હતી. જમ્મુ કાશ્મીરથી આવેલા કમલેશકુમારી ગાંધીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ચિત્ર બનાવ્યું છે જેમાં ત્યારે એમાં પહાડોની વચ્ચે છે સુંદર દૃશ્ય છે. આ ચિત્ર બનાવવાનું મારૂ કોઇ આયોજન ન હતું પણ પ્રકૃતિની પ્રેરણાથી આ ચિત્ર દોરવાની મજા આવી ગઇ છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ખાડાને લીધે અકસ્માત સર્જાયો:ને.હા.56 પર ખાડાથી 2 બાઈક અથડાતા 2 યુવકને ગંભીર ઇજા

કપરાડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે–56 પર પડેલા ખાડાઓ વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે. ગુરુવારે સાંજે નાનીવહીયાળ ગામના સડક ફળિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આર–15 બાઈક નં GJ 16 CR 8500 અને સ્પ્લેન્ડર બાઈક નં GJ 15 AJ 2114 રસ્તામાં પડેલા ખાડાથી સામસામે અથડામણ થઈ હતી.જેમાં બંને બાઈક ચાલકો રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તરત જ 108ને બોલાવી બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નેશનલ હાઇવે–56 પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા હોય વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ છે. બનાવ અંગે નાનીવહીયાળના માજી સરપંચ દિલીપ પટેલે પોલીસ અને હાઇવે ઓથોરિટીને જાણ કરી રસ્તાની તાત્કાલિક મરામત કરવાની માંગ કરવા સાથે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક હાઇવે પર પડેલા ખાડાઓ પૂરવાનું કામ શરૂ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

MLA જીતુ ચૌધરીના હસ્તે બ્રિજનું લોકાર્પણ‎ કરાયું:મોટાપોંઢા ઓમ કચ્છ રાતા ખાડી પર બ્રિજ શરૂ 10 હજારથી વધુ વાહનચાલકોને ફાયદો થશે

નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢા ગામ નજીક ઓમકચ્છ રોડ પર આવેલી રાતા ખાડી ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલ માઈનોર બ્રિજનું લોકાર્પણ કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ માઈનોર બ્રિજની લંબાઈ આશરે 55 મીટર અને પહોળાઈ 10 મીટર છે, જ્યારે ડેકની ઊંચાઈ લગભગ 8 મીટર રાખવામાં આવી છે. બ્રિજ સાથે બંને બાજુ જરૂરી રિટેનિંગ વોલ તથા એપ્રોચ રોડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. મોટાપોંઢા ગામથી ઓમકચ્છ ફળીયા સુધીનો આ માર્ગ સ્થાનિક સ્તરે અત્યંત મહત્વનો ગણાય છે, કારણ કે તે સેલવાસ સાથે જોડાયેલ હોય ગામના મુખ્ય કેન્દ્રને રહેણાંક વિસ્તાર સાથે સીધી કનેક્ટિવિટી આપે છે. આ બ્રિજ બનવાથી ખેડૂતોને તેમના ખેતી ઉત્પાદનો મુખ્ય બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. સાથે સાથે વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા અને ગ્રામજનોને આરોગ્ય કેન્દ્ર સહિત અન્ય સરકારી સેવાઓ સુધી પહોંચવામાં પણ સહેલાઈ મળશે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રોડ, પાણી, શિક્ષણ અને ખેતી જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપીને વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ કરી રહ્યા છે. અગાઉ ચોમાસામાં રાતા ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા વાહનવ્યવહાર ખોરવાઈ જતો હતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી સહેવી પડતી હતી. હવે આ બ્રિજથી સમસ્યાનો અંત આવ્યો છે. આ બ્રિજથી ગુજરાતના સેલવાસની કંપનીઓમાં કામ કરવા જતા અંદાજે 10 હજારથી વધુ લોકોને આવન-જાવનમાં સુવિધા મળશે. સરપંચ રણજીત પટેલ સહિત ગ્રામજનોએ આ બ્રિજના નિર્માણથી વર્ષો જૂની મુશ્કેલી દૂર થઈ હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

MLAની હાજરીમાં કરાયું લોકાર્પણ:ધરમપુર ખાંડામાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

ધરમપુરના ખાંડા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને જિ.પં. પ્રમુખ મનહરભાઇ પટેલના હસ્તે કરાયું હતું. વલસાડ જી. ભાજપ મહામંત્રી ગણેશભાઇ બીરારી, જિ. પં. સભ્ય કાકડભાઇ ગાવીત, સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. દિવ્યા સોલંકી, મેડિકલ ઓફિસર ખાંડા ડો. ભાવિન ચૌધરી ઉપસ્થિત હતાં. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પૂર્વીબેન પટેલે સંસ્થાની કામગીરી અને વસંત ઋતુમાં કફના શમન માટે ધાણી-ચણા જેવા આહારના મહત્વ વિશે જાણકારી આપી હતી. આરોગ્ય મંદિરમાં ડાયાબિટીસ, સ્ત્રી રોગ અને બ્લડપ્રેશર જેવી વિવિધ બીમારીઓની આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ છે. ધારાસભ્ય અરવિંદભાઇએ દિનચર્યા અને ઋતુચર્યાના પાલન દ્વારા કુદરતી રીતે સ્વસ્થ રહેવા ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં યોગ નિદર્શન, ઔષધીય વનસ્પતિ અને વાનગી પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, સંચાલન ડો. દિવ્યા સોલંકી તથા આભાર વિધિ ડો. ભાવિન ચૌધરીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સ્વદેશી મેળામાં 30 જેટલા સ્ટોલ ઊભા કરાયા:ઉમરગામના દરિયા કિનારે છ‎ દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ‎

ઉમરગામ પાલિકા દ્વારા દરિયા કિનારે સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ છ દિવસીય મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમણભાઈ પાટકર અને પાલિકા પ્રમુખ મનીષ રાયના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને વેપારીઓને પ્રોત્સાહન આપી રોજગારીની તકો પૂરી પાડવાનો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળામાં અંદાજે 30 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. અહીં સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક લઘુ ઉદ્યોગોને વેગ મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

વીડિયો થયો વાયરલ:વાપીમાં જીવના જોખમે કારના બોનેટ પર બેસી-લટકીને બાળકોની સવારી

વાપી સેલવાસ રોડ પર એક કારના બોનેટ ઉપર બેસીને અને લટકીને ચારથી પાંચ બાળકો સવારી કરી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જીવના જોખમે તેઓ સવારી કરતા નજરે ચઢી રહ્યા છે. ચાલુ ગાડીએ પાછળ ચાલી રહેલા એક કારચાલકે આ વીડિયો ઉતાર્યો છે. જાહેર માર્ગ પર આ રીતે સ્ટંટ કરતા અને બાળકોના જીવને જોખમમાં મૂકનારા કાર ચાલક સામે કડક પગલાં લેવા લોકો માગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

2 બાળકીઓ લિફ્ટમાં ફસાઈ:વલસાડ શહેરના સરદાર હાઇટ્સમાં 2 બાળકી ફસાઇ

વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઇટ્સમાં ત્રીજા માળે સરસ્વતિ વિંગ ખાતે એક લિફ્ટમાં 2 બાળકી લિફ્ટમાં ફસાઇ ગઇ હતી.રહીશોએ તાત્કાલિક દોડી આવી લિફ્ટમાંથી બાળાઓને બહાર કાઢી હતી. વલસાડના તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ્સના સરસ્વતિ બિલ્ડિંગમાં ત્રીજા માળેએક લિફ્ટમાં ખામી સર્જાતાં બે બાળા અંદર ફસાઇ ગઇ હતી.બહારના દરવાજો નહિ ખુલતાં બા‌ળાઓ ગભરાઇ ગઇ હતી.પરંતું રહીશો દોડી આવી બાળકીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી.આ બાળાઓ લિફ્ટમાં જતી હતી પણ દરવાજો નહિ ખુલતાં બુમાબુમ થઇ હતી. રહીશોએ દોડી આવી બાળાઓનું રેસ્ક્યુ કરી લેતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.બે દિવસ અગાઉ પણ એક વૃધ્ધ લિફ્ટમાં ફસાઇ ગયા હોવાનો બનાવ બન્યા બાદ આ બીજી ઘટના સામે આવતા રહીશોમાં લિફ્ટ નિભાવ કરતી કંપની સામે રોષ વ્યાપી ગયો હતો.દરમિયાન સોસાયટીના હોદ્દેદારોની બેઠક માં આ મામલે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ઉદ્યોગોમાં છવાયા સંકટના વાદળ:વલસાડ જિલ્લાના 70 ટકા ઉદ્યોગોમાં PNG કાપ ઝીંકાયો, કોલસો મોંઘો થતા ઉત્પાદનને અસર

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવની સીધી અને માઠી અસર વાપી,સરીગામ,ઉમરગામ જીઆઈડીસીના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. વાપીના અંદાજે 2000 જેટલા નાના-મોટા એકમોમાંથી 70 ટકા ઉદ્યોગો પીએનજી (PNG) ગેસ પર નિર્ભર છે. ગુજરાત ગેસ દ્વારા તાત્કાલિક અસરથી 50 ટકા ગેસ કાપ જાહેર કરાતા ઉદ્યોગકારોની ચિંતામાં મોટો વધારો થયો છે. જો આગામી 10 થી 15 દિવસમાં સ્થિતિ સામાન્ય નહીં થાય, તો વાપીના ઔદ્યોગિક એકમોને ફરજિયાત તાળાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેસ-1 નોન-કોન્ટ્રાક્ટ એકમોનો શ્વાસ રૂંધાયોવાપી વીઆઇએ (VIA) ના ઉપપ્રમુખ ચંદ્રેશ મારૂના જણાવ્યા મુજબ, જે એકમોએ ગેસ કંપની સાથે ફિક્સ કોન્ટ્રાક્ટ નથી કર્યો અને જરૂરિયાત મુજબ ગેસ વાપરે છે, તેમનો પુરવઠો કંપનીએ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. હાલમાં આ એકમો પાસે 10-15 દિવસનો સ્ટોક છે, પરંતુ તે પૂર્ણ થતા જ ઉત્પાદન ઠપ્પ થઈ જશે. આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.સુખદ ઉકેલ આવે તેવી આશા છે. કેસ-2 વરાળમાં પણ ભાવ ઉછળ્યો ગેસ કાપનો સીધો ફાયદો સ્ટીમ પૂરી પાડતા એકમો ઉઠાવી રહ્યા છે. યુદ્ધની આડમાં નફાખોરી શરૂ થઈ છે. ગેસ કાપના અમલના બે દિવસ અગાઉથી જ સ્ટીમ પર ટન દીઠ રૂ. 500 થી 700 નો વધારો ઝીંકી દેવાયો છે. હજુ પણ ભાવ વધવાની શક્યતા છે, જેની સીધી અસર કેમિકલ અને ફાર્મા એકમો પર પડશે. કેસ-3 વિદેશી કોલસામાં તેજી‎પેપરમિલ ઉદ્યોગકારોના મતે, ભારત જે કોલસો આયાત કરે છે‎તેને મિડલ ઈસ્ટના યુદ્ધ સાથે સીધો સંબંધ નથી, છતાં સપ્લાયરોએ‎શિપિંગ ચાર્જ અને યુદ્ધનું બહાનું ધરી ભાવમાં 15 ટકાનો વધારો‎કર્યો છે. પેપરમિલ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચ વધતા‎સ્પર્ધાત્મકતા જાળવવી મુશ્કેલ બની છે.‎ ભાસ્કર નોલેજ‎વૈકલ્પિક ઇંધણ જરૂરીગુજરાતની ક્લીન ફ્યુઅલ પોલિસીને કારણે 80 ટકા ઉદ્યોગો પર્યાવરણને બચાવવા ગેસ તરફ વળ્યા હતા. વર્તમાન કટોકટીમાં આ નિર્ભરતા શ્રાપ સાબિત થઈ રહી છે. ઉદ્યોગકારોની માગ છે કે સરકાર કટોકટીના સમયમાં ઉદ્યોગોને બચાવવા માટે ઇંધણના અન્ય વિકલ્પો બાયોમાસ કે લિક્વિડ ફ્યુઅલના વપરાશની કામચલાઉ મંજૂરી આપે.હાલ ઉદ્યોગો સાથે સરકાર પણ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

જોખમી સવારી:સોનગઢ-વ્યારા હાઇવે પર દંપતી , બે બાળક સહિત ઘરવખરી સાથે બાઇક પર નીકળેલી જોખમી સવારી

સોનગઢ-વ્યારા હાઇવે પર હોળીના પર્વે વતન જતી વખતે એક શ્રમિક પરિવારની અત્યંત જોખમી સવારી જોવા મળી હતી. બાઇક પર દંપતી અને બે બાળકો સહિત ઘરવખરીનો સામાન એવી રીતે લાદવામાં આવ્યો હતો કે વાહનનું સંતુલન જાળવવું પણ મુશ્કેલ જણાય. સીટ પર ગાદલાં-ચાદર બિછાવી નાના બાળકોને બેસાડયા હતા,જ્યારે આસપાસ 8-10 થેલા લટકતા હતા.આવી બેદરકારીભરી મુસાફરી ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી શકે છે. દંપતીએ સમજવું જોઈએ કે જીવ હશે તો જ તહેવાર ઉજવી શકાશે. ટુ-વ્હીલર પર ક્ષમતા કરતા વધુ સામાન કે વ્યક્તિઓને બેસાડવા એ આત્મઘાતી સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

કુહાડીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરાયો:મજીગામમાં ઉછીના આપેલા નાણા માંગતા મહિલા પર કુહાડીથી હુમલો

ચીખલી નજીકના મજીગામમાં પૈસાની લેતીદેતીમાં ચીમલાની મહિલાને માથામાં કુહાડીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરાયો હતો. જેને પગલે ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને ચીખલીમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર સુરત ખસેડાઇ હતી. ચીખલી તાલુકાના ચીમલાના ઉગમણા ફળિયામાં રહેતા અને ફરિયાદી હિતેશ ઇશ્વરભાઇ પટેલની પત્ની ગતરોજ સાંજના સમયે મલિયાધરા ગામે પિયર જવા નીકળી હતી. તેમણે પત્નીને મજીગામના છાપરા ફળિયા રહેતા દૃષ્ટીક ઉર્ફે જીમીને આપેલ ઉછીના રૂ. 16 હજાર લઈ આવવા જણાવ્યું હતું, જે મુજબ પ્રિયંકાબેન આ ઉછીના રૂપિયા લેવા માટે રાત્રે 8 વાગ્યાના અરસામાં મજીગામ ગયા હતા. જ્યાં જીમીએ તેને ગાળો આપી તેના ઘરેથી નીકળી જવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, તેમ છતાં પ્રિયંકાબેને ફરી વખત ઉછીના નીકળતા રૂપિયા માંગતા જીમી ઉશ્કેરાઇ જઈ ઘરમાંથી કુહાડી લાવી જાનથી મારી નાંખવાના ઇરાદે કુહાડીથી માથામાં ભાગે જીવલેણ ઘા મારતા લોહીલુહાણ થઈ ઢળી પડી હતી. ગંભીર ઇજાગ્રસ્ત પ્રિયંકાબેનને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે આ બનાવમાં દૃષ્ટીક ઉર્ફે જીમી મંગુભાઇ પટેલ (રહે.મજીગામ, છાપરા ફળિયા, તા.ચીખલી) સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. બનાવની તપાસ પીઆઇ ડી.એસ.કોરાટે હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

દીપડો પાંજરે પૂરાતા લોકોમાં રાહત:જૂજ ગામે 27 ફેબ્રુઆરીએ ગોઠવેલા પાંજરામાં 6 માર્ચે દીપડો પુરાયો

ભાસ્કર ન્યૂઝ । વાંસદા વાંસદા તાલુકાના વાંસદા પૂર્વ રેન્જના વાંસદા રાઉન્ડના જૂજ ગામે દીપડો આંટાફેરા મારતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસ પર જાણ કરતા વન વિભાગ હરકતમાં આવી તાત્કાલિક પાંજરું મૂક્યું હતું. આ પાંજરામાં દીપડો પુરાતા વન વિભાગ અને લોકોને રાહત થઇ છે. વાંસદાના જૂજ ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના સરપંચ દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ આ બાબતે ટેલિફોનિક જાણ વાંસદા પૂર્વ રેંજ કચેરીએ કરી હતી. જેને પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રાઉન્ડ ફોરેસ્ટર તથા વન વિભાગના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જૂજ ગામે રહેતા પંકજભાઈ પટેલના ઘરની બાજુમાં તેમજ તેમના ખેતરમાં આવેલા મરઘા ફાર્મ પાસે દીપડાની હલચલ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી. વન વિભાગના સતત પ્રયાસો બાદ 6 માર્ચના રોજ વહેલી સવારે 6.30 કલાકે 6 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. પકડાયેલા દીપડાને હાલ વન ચેતના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. દીપડાના સ્વાસ્થ્યની તપાસ વાંસદા વેટરનરી ઓફિસરે કરી હતી. આ કાર્યવાહી વલસાડ ઉત્તર નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા વાંસદા મદદનીશ વન સંરક્ષક જે.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઇ હતી. દીપડો પાંજરે પુરાતા જૂજ ગામ સહિત આસપાસના ગ્રામજનોને રાહત થઇ હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

કામગીરીમાં કરાયેલી વેઠનું પરિણામ:ડુંગરાળ વિસ્તારમાં ગટર કામ વગર બનાવી દેવાતા રસ્તો ધોવાયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

વાંસદાના કણધા ગામે ખોરા ફળિયાનો જિ.પં. માર્ગ મકાન હસ્તકનો રસ્તો માત્ર બે વર્ષમાં ધોવાઇ ગયો છે. વાંસદા તાલુકાના કણધા ગામના ખોરા ફળિયામાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વાંસદા હસ્તકનો રસ્તો વર્ષ-2022/23માં વલસાડની એજન્સી દ્વારા બનાવ્યો હતો. અંદાજે 52.50 લાખના ખર્ચે કણધા મુખ્ય રસ્તાથી ખોરીપાડા થઈ ખોરા ફળિયાને જોડતો રસ્તો બનાવામાં એજન્સી દ્વારા વેઠ ઉતારાઇ છે. જેમાં ડુંગરાળ વિસ્તારમાં હોવા છતાં રસ્તાની બાજુએ ગટરની વ્યવસ્થા કરવા વગર ડામર રસ્તો બનાવી દીધો હતો. જોકે ડામર રસ્તો બનાવ્યો જેમાં અમુક જગ્યાએ ગરનાળાઓ નાંખ્યા એ કામગીરીમાં પણ નકરી વેઠ ઉતારાઇ હોય એવું સ્થળ પર જોતા પ્રતીત થઈ રહ્યું છે. દરેક જગ્યાએ રસ્તાની ધારે રેલિંગનો અભાવ જોવા મળી રહ્યો હોય તેમજ બે વર્ષમાં આ રસ્તાની ધાર તૂટી ગઇ છે તેમજ અનેક જગ્યાએ સાઈડ સોલ્ડરિંગની કામગીરી પણ નહિવત દેખાઈ રહી છે. હાલ આ રસ્તાને લઇ યોગ્ય નિરાકરણ થશે કે કેમ એ દિશામાં અહીંની પ્રજા મીટ માંડીને બેસી છે. આડેધડ કામગીરી કરવામાં આવી રસ્તો બે વર્ષ પહેલાં બન્યો હતો. રસ્તાની બાજુમાં ગટર ન બનાવી જેને લઈ ડુંગરા પરથી આવતા પાણીને લઈ રસ્તો ધોવાઈ ગયો છે. કોન્ટ્રાકટર દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવી હતી. રોડની ધારે એક પણ જગ્યાએ રેલિંગ પણ નથી તેમજ ગરનાળા પણ નાના અને ફાવે તેમ નાંખવામાં આવ્યા છે. > રાવિન્દ્રભાઈ ધનજીભાઈ, સ્થાનિક, કણધા

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

‘ગુંજ–2026’નું ‎‎સફળ આયોજન:અબ્રામા GIDC એન્જિ. કોલેજમાં નૃત્ય, ગાયન અને નાટકથી ‘ગુંજ-2026’ મહોત્સવ ગુંજી ઉઠ્યો

નવસારીના અબ્રામા સ્થિત જીઆઇડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં વાર્ષિક મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ગુંજ–2026’નું સફળ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભુરાલાલ શાહ અને દેવરાજ લાડુમોર તેમજ સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખડિયા અને રોહિતભાઈ ગામી ઉપસ્થિત રહ્યાં હતા. મહેમાનોના પ્રેરણાદાયક સંબોધનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને નવી પ્રેરણા સર્જાઇ હતી. ઉપરાંત સંસ્થાના ચેરપર્સન પ્રવિણા ડી.કે. (IAS) અને સેક્રેટરી આર.પી.પટેલે શુભાશિષો પાઠવી વિદ્યાર્થીઓને વધુ ઉત્તમ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આચાર્ય પ્રો. ડો. એચ.એસ.પાટીલ દ્વારા સંસ્થાએ વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલી વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક સિદ્ધિઓ તથા સમગ્ર શૈક્ષણિક વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, ગાયન, નાટ્ય તેમજ વિવિધ સર્જનાત્મક રજૂઆતો દ્વારા પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે મહોત્સવ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધામાં વિજેતા તેમજ યુનિ.ના શૈક્ષણિક પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન ડો. એસ.એસ. પટેલ, ડો. ડી.સી. પટેલ, ડો. અર્ચના નાયક અને પ્રો. તોરલ પટેલ દ્વારા કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

જાહેરનામાને મળ્યો નકારાકત્મક લોકપ્રતિસાદ:વિરાવળ પુલ ભારે વાહનોના પ્રતિબંધથી એસટીના મુસાફરોમાં ભારે આક્રોશ વ્યાપ્યો

વિરાવળ બ્રિજ ‘પુવર’કંડીશનમાં માલુમ જણાતા બ્રિજ ભારે વાહનો,એસ.ટી.બસ તેમજ અન્ય તમામ હેવી વાહનો માટે ચોથી વખત 29 એપ્રિલ સુધી બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ડીઝાઇન સર્કલ પાસે આ પુલ પુનઃ મોજણી તપાસ કરે તેવી લોકમાંગ ઉઠી છે. આ દરખાસ્ત અન્વયે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ નવસારીથી પોલીસ અધિક્ષક નવસારી દ્વારા પણ આ જાહેરનામુ બહાર પાડવા માટે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. જેના અનુસંધાને જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. હાલ કા.ઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરૂચ દ્વારા આ જાહેરનામાની મુદત વધારી આપવા દરખાસ્ત કરી હતી. નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગીરાજસિંહ બી.ઝાલાને મળેલ સત્તાની રુએ,રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર ભારે કોમર્શિયલ વાહનોના અવર જવર ઉપર 1 માર્ચથી 29 એપ્રિલ સુધી અમલમાં મૂકી છે. આ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નવસારી તથા જીલ્લા પોલીસવડા નવસારી ખાલી અભિપ્રાય આપવાના બદલે પોતાની નિષ્ણાત ટીમ બનાવીને અભિપ્રાય આપે તે જરૂરી છે તેવી મુસાફરજનતાની માંગ છે. એસ.ટી.ના મુસાફરો 8 માસથી વધુ ભાડા વધુ સમય ખર્ચી આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે પુલ પરથી તમામ એસ.ટી.બસ દોડાવામાં આવે અને એસ.ટી.સિવાયના 10 ટનથી વધુ ભારે વાહનો પ્રતિબંધિત કરાય તે પ્રમાણેનું સુધારેલું જાહેરનામુ બહાર પાડવું જોઈએ. જેથી એસ.ટી.નું ડીઝલ લોકોના નાણા તથા સમયની બચત થશે. જો નબળો જાહેર કરવામાં આવ્યો છે તો તેની નબળાઈ હોય તો તેને દુર કરવા માટે ભરૂચ વિભાગ આજ દિન સુધી નિષ્ક્રિય કેમ છે ?

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

બોર્ડની પરીક્ષા:નવસારીમાં શુક્રવારે બોર્ડની પરીક્ષામાં પેપરો સરળ નીકળતા છાત્રોમાં ખુશી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી બોર્ડ પરીક્ષામાં શુક્રવારના રોજ ધો.10માં બેઝીક ગણિત, ધો. 12 સાયન્સમાં અંગ્રેજી અને સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રના પેપરો પ્રમાણમાં સરળ નીકળતા પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા છાત્રોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર ગણાતું બેઝિક ગણિતનું પેપર આ વર્ષે ધારણા કરતા ઘણું સરળ રહ્યું હતું. નવસારી જિલ્લામાં આ વિષય માટે કુલ 16,571 છાત્રો નોંધાયા હતા, જેમાંથી 16,111 છાત્રોએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી, જ્યારે 460 છાત્રો ગેરહાજર રહ્યા હતા. પેપર સહેલું હોવાને કારણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ચિંતાતુર વાલીઓમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી. ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ અને દ્વિતીય ભાષા)નું પેપર સરળ રહેતા છાત્રોએ રાહત અનુભવી હતી. અહીં નોંધાયેલા 3,628માંથી 3,624 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને માત્ર 8 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રનું પેપર થોડું લાંબુ હતું પરંતુ પ્રશ્નો સરળ હોવાથી તેઓ સમયસર પેપર પૂર્ણ કરી શક્યા હોવાનું પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

મ્યુઝિકલ ફાઉન્ટન શો પુનઃ શરૂ થશે:દોઢ મહિનાથી બંધ નવસારીનો મ્યુઝિકલ ફાઉન્ટન શો પુનઃ 9મી ને સોમવારથી શરૂ

નવસારીમાં લગભગ દોઢ મહિનો બંધ રહ્યા બાદ મ્યુઝિકલ ફાઉન્ટન શો પુનઃ અપડેટ વર્ઝન સાથે સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યો છે. નવસારીમાં મનપાએ ટાટા તળાવમાં 4 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલ મ્યુઝિકલ ફાઉન્ટન શો દિવાળીના અરસામાં શરૂ કરાયો હતો. લગભગ 100 દિવસ શો ચાલ્યો જે અંદાજે 50 હજારથી વધુ લોકોએ માણ્યો હતો.જોકે અચાનક ફ્લાવર શો શહેરમાં આવ્યો ત્યારે બંધ કરાયો હતો. પુનઃ શો સોમવારથી શરૂ કરાઈ રહ્યો છે. શો બંધ રહેવાનું કારણ શો અપડેટ કરવા ઉપરાંત નહેરના પાણીની પડેલ શોર્ટેજ પણ હોવાનું ચર્ચાય છે.જેમાં ગુજરાતની ગૌરવ ગાથા અપડેટ આવશે એમ જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

બોર્ડની પરીક્ષા:ધો.12 વિ.પ્ર.ના અંગ્રેજીમાં પાંચ એમસીક્યુ પ્રશ્નો અઘરા પૂછાયા

ધોરણ 10માં બેઝિક ગણિતનું પેપર સહેલું નીકળતાં વિદ્યાર્થીઓ હરખાયા હતા. ગત વર્ષ કરતાં આ વર્ષે પાસિંગ અને સ્કોરિંગ રેશિયો વધશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજીના પેપરમાં 5 એમસીક્યુ પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. જોકે, આ 5 એમસીક્યુને બાદ કરતાં એકંદરે અંગ્રેજીનું પેપર પણ સરળ હોવાનો મત પરીક્ષાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. મહત્વના બંને પેપર પ્રમાણમાં સરળ રહેતાં છાત્રો હળવા જણાયા હતા. ભાસ્કર એક્સપર્ટઅંગ્રેજીના પેપરમાં પાર્ટ એમાં 50 માર્ક્સના એમસીક્યુમાં કેટલાક પ્રશ્નો અઘરા છે. આવા 5 થી 6 પ્રશ્નોને બાદ કરતાં પેપર સરળ હતું. પાર્ટ બી વર્ણનાત્મક લેખનના પ્રશ્નો પ્રમાણમાં ખૂબ સરળ છે. નિબંધ અને ઇ મેઇલ પણ સરળતાથી લખી શકાય તેવો છે.> યશભાઇ ચૌધરી, ધોરણ 12 અંગ્રેજી શિક્ષક બેઝિક ગણિતનું પેપર સરળ છેસમય મર્યાદામાં તમામ પ્રશ્નોના ઉત્તર લખી શકે તેવા દાખલા પૂછાયા છે.> અશ્વીનભાઇ પટેલ, ધોરણ 10 ગણિત શિક્ષક

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સરહદી સુરક્ષા વધુ મજબૂત:બ.કાં.ની નવી રેન્જ બની, પહેલા આઇજી તરીકે પરિક્ષિતા રાઠોડ

ગુજરાતના પોલીસ વિભાગે બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આઇ.જી. રેન્જના અધિકારીની પોસ્ટ આપી છે. જ્યાં પ્રથમ આઇ.જી. અધિકારી તરીકે ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઇમમાં આઇ.જી.પી. તરીકે ફરજ બજાવતાં IPS અધિકારી પરિક્ષિતા વી. રાઠોડની નિમણૂંક કરી છે. બનાસકાંઠા, વાવ - થરાદ જિલ્લાના 31, પાટણના 14 પોલીસ મથકો હવે 320 કિલોમીટર દૂર ભૂજને બદલે 100 કિલોમીરટની અંદર પાલનપુર રિપોર્ટ કરશે. આર.કે. પટેલ (નિવૃત Dysp. બનાસકાંઠા)એ જણાવ્યું કે, ભૂજ રેન્જ આઇ.જી. અધિકારી પાસે બનાસકાંઠા, પાટણ, કચ્છ પૂર્વ (ગાંધીધામ), કચ્છ પશ્વિમ (ભુજ) ચાર જિલ્લા હતા. પાકિસ્તાન સરહદ અને રાજસ્થાન સાથે જોડાયેલી આંતરરાજ્ય સરહદ પર જ્યારે કોઈ મોટી ગુનાખોરી કે ઘૂસણખોરીની ઘટના બને ત્યારે રેન્જ આઈજીનું લોકેશન દૂર હોવાથી સીધું મોનિટરિંગ કપરું બનતું હતું. હવે બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ વચ્ચેનું અંતર માત્ર 100 કિમીમાં હોવાથી વહીવટી સંકલન ઝડપી થશે. ભાસ્કર ઇન્સાઇડ‎કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનશે‎ સરહદી સુરક્ષા અને ઘૂસણખોરી પર નિયંત્રણ‎બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ આંતરરાષ્ટ્રીય‎અને આંતરરાજ્ય સરહદ ધરાવે છે. અલગ રેન્જ‎આઈ.જી. હોવાથી રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર‎પરથી થતી ઘૂસણખોરી, હથિયારોની હેરાફેરી અને‎ડ્રગ્સ નેટવર્ક પર સીધું અને કડક મોનિટરિંગ વધશે.‎ આંતરરાજ્ય ગુનાખોરીમાં ઘટાડો‎રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની સરહદનો લાભ‎લઈને ગુનેગારો ગુનો કરીને બીજા રાજ્યમાં નાસી‎જતા હોય છે. આઈ.જી. કક્ષાના અધિકારી સીધા‎પડોશી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન‎સાધી શકશે, જેનાથી દારૂની હેરાફેરી અને વાહન‎ચોરી જેવી આંતરરાજ્ય ગેંગને પકડવી સરળ બનશે.‎ કામગીરીમાં ઝડપ અને કાર્યક્ષમતા વધશે‎બનાસકાંઠા, વાવ- થરાદ અને પાટણ જિલ્લાના‎એસ.પી. ને ત્વરિત માર્ગદર્શન મળશે. ગંભીર‎ગુનાઓના સ્થળ પર આઈ.જી. પોતે જલ્દી પહોંચી‎શકશે. પોલીસ જવાનોની શિસ્ત અને હાજરી પર‎સીધી નજર રહેશે.‎ સાયબર ક્રાઈમ અને ટેકનિકલ દેખરેખ‎નવી રેન્જ ઓફિસ બનવાથી આધુનિક સાયબર‎ક્રાઈમ લેબ અને ટેકનિકલ સર્વેલન્સ માટે અલગ‎બજેટ અને સ્ટાફ ફાળવવામાં આવે છે. આનાથી‎સોશિયલ મીડિયા પર થતી અફવાઓ અને‎ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે.‎

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

દેશ-વિદેશના ફૂલોની સુગંધ અમદાવાદને મહેકાવશે:શેલામાં 128 કરોડના ખર્ચે તૈયાર થશે 'લોટસ પાર્ક', ફ્લાવર મ્યુઝિયમથી લઈને મલ્ટીમીડિયા થિયેટર સુધીની સુવિધાઓ

અમદાવાદમાં સૌથી મોંઘો અને અલગ-અલગ રાજ્યોના ફૂલોવાળો કમળ આકાર ધરાવતો ગાર્ડન બનાવવામાં આવશે. શહેરના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન નજીક ધાતલા તલાવડીની જગ્યામાં 128 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. જેમાં ફ્લાવર મ્યુઝિયમ અને ગ્લો ગાર્ડન પણ બનાવાશે. ચાલુ વર્ષે બજેટમાં તેના માટે 20 કરોડની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. દેશના તમામ રાજ્યોના ફૂલો આ પાર્કમાં જોવા મળશે. એમ્યુઝમેન્ટ પાર્કની સાથેનો સૌથી અલગ ગાર્ડન શહેરમાં બનવા જઈ રહ્યો છે. બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમથી લઈને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કમળના આકારના બનવા જઈ રહેલા લોટસ પાર્કમાં ભારતના દરેક રાજ્યના રાજ્ય ફૂલોને પ્રદર્શિત કરવામાં આવશે. શેલામાં ધાતલા તલાવડી પાસે 37,033 ચોરસ મીટર જમીન પર બનશે. 30 મીટરનો પ્રવેશદ્વાર હશે. પ્લોટના 40 ટકા ભાગમાં એસેમ્બલી જેવું માળખું હશે, જેની મહત્તમ ઊંચાઈ 45 મીટર હશે. બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટીમીડિયા થિયેટર અને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશે. બાજુના પ્લોટમાં 'ગ્લો ગાર્ડન' બનાવવાનું પણ આયોજન છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોટસ પાર્ક બન્યા બાદ તેમાં એન્ટ્રી ફી પણ રાખી શકે છે. ફલોરલ મ્યુઝિયમમાં વિદેશનાં ફુલોનું પ્રદર્શન કરવામાં આવશેવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશનાં તમામ રાજ્યોનાં ફુલો એક જ સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ફલોરલ મ્યુઝિયમમાં વિદેશનાં ફુલોનું પ્રદર્શન કરવામાં આવશે. આ પાર્ક ડેવલોપ થવાથી તમામ રાજ્યોનાં ફુલોનું એક જ સ્થળે પ્રદર્શન, વન એમ્યુઝમેન્ટ પાર્ક, હેરીટેજ વિસ્તારનું બ્યુટીફીકેશન વગેરે સુવિધાના કામો થશે. જેથી, શહેરની શોભામાં વધારો થશે તથા સદર લોટસ પાર્કનો લાભ સમગ્ર શહેરીજનોને થશે. લોટસ પાર્કને મંજૂરી આપવા માટે અધિકારીઓએ અમુક નિયમોનું ઉલ્લંઘન કર્યાનો આક્ષેપ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ પ્રોજેક્ટ માટે પેનલની બહારના એક કન્સલ્ટન્ટની નિમણૂક કોઈપણ સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવી હતી. વધુમાં, પેનલમાં સામેલ આર્કિટેક્ટ્સ ઓછા દરે ઉપલબ્ધ હોવા છતાં આ કન્સલ્ટન્ટને તુલનાત્મક રીતે વધુ ફી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પૂરી થાય તે પહેલાં છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં ઝડપથી લોટસ પાર્ક પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે ઉતાવળમાં ટેન્ડર પ્રક્રિયા અને કોન્ટ્રાક્ટરને કામ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન અધિકારીઓએ કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરીને દરખાસ્ત મૂકી અને પ્રોજેક્ટને મંજૂર કરાવી લીધો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 12:05 am

સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ ગેરકાયદેસર ડ્રેનેજ પણ કાયદેસર કરી શકાશે:ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનોને દંડ વગર કાયદેસર કરાવવા મિલકતદારોને 31 ડિસેમ્બર 2026 સુધીની  મુદત

સુરત શહેરના વિકાસ અને ડ્રેનેજ નેટવર્કની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શહેરમાં જે મિલકતદારોએ અત્યાર સુધી ગેરકાયદેસર રીતે ડ્રેનેજ કનેક્શનો લીધા છે અથવા જેમણે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં ડ્રેનેજનું જોડાણ કરી દીધું છે, તેમને હવે દંડ વગર કાયદેસર થવાની એક તક આપવામાં આવી છે. આ યોજના હેઠળ મિલકતદારો આગામી 31 ડિસેમ્બર 2026 સુધીમાં પોતાના કનેક્શનો નિયમિત કરાવી શકશે. ત્રણ ગણા દંડમાંથી મુક્તિસામાન્ય રીતે સુરત મહાનગરપાલિકાની પ્રવર્તમાન નીતિ મુજબ, જો કોઈ મિલકતનું ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર માલૂમ પડે, તો મિલકતદાર પાસેથી નિર્ધારિત ચાર્જ કરતા ત્રણ ગણો ચાર્જ વસૂલવાની જોગવાઈ છે. જોકે, નવી દરખાસ્તમાં નાગરિકોને આ આર્થિક બોજમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. જે મિલકતદારો 31 ડિસેમ્બર 2025 સુધીમાં પાલિકાના આકારણી દફતરે નોંધાયેલા છે, તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં સ્વયંભૂ જાહેરાત કરીને માત્ર બેઝિક રાહત દરે કનેક્શન મેળવી શકશે. આ માટે મિલકતદારોએ પાલિકાના જે-તે ઝોન વિભાગમાં સાદી અરજી કરવાની રહેશે. વિવિધ મિલકતો માટે નક્કી કરાયેલા નવા ચાર્જપાલિકાએ આ યોજના હેઠળ અલગ-અલગ કેટેગરીની મિલકતો માટે ખાસ રાહત દરો નક્કી કર્યા છે. વ્યાપારિક મિલકતો જેવી કે ટેક્સટાઈલ ફેક્ટરીઓ, લૂમ્સ, એમ્બ્રોઈડરી યુનિટ્સ અને નર્સરી માટે યુનિટ દીઠ 1948 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક એકમોમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ્સ તેમજ મટીરીયલ ટેસ્ટિંગ લેબોરેટરીઓ માટે તેમના કાર્પેટ એરિયા મુજબ 2435 રૂપિયાથી લઈને 9744 રૂપિયા સુધીનો ચાર્જ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશનો અને મ્યુઝિયમ જેવી મિલકતો માટે 1000 ચોરસ મીટર સુધીના એરિયા માટે 5846 રૂપિયા નક્કી કરાયા છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે ધર્મશાળા, ચેરિટેબલ ટ્રસ્ટ, હોસ્પિટલ અને શાળાઓ જેવી બિન-નફાકારક સંસ્થાઓ માટે 4872 રૂપિયાનો રાહત દર રખાયો છે, જ્યારે મંદિરો, મસ્જિદો અને પૂજાના અન્ય સ્થળો માટે સૌથી ઓછો એટલે કે માત્ર 974 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે. ખોદાણ ચાર્જમાં માફી અને પાલિકાના ખર્ચે કામગીરીનાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે પાલિકાએ આ દરખાસ્તમાં વધુ એક મોટી રાહત આપી છે. આ યોજના હેઠળ કનેક્શન લેનાર અરજદારો પાસેથી રસ્તા ખોદાણ કે રી-ઈન્સ્ટેટમેન્ટના કોઈપણ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. એટલું જ નહીં, અગાઉ જે-તે સમયે ગેરકાયદે જોડાણ કરતી વખતે જો રસ્તા ખોદાણના ચાર્જ વસૂલવાના બાકી હોય તો તે પણ પાછળની અસરથી માફ કરવામાં આવશે. ડ્રેનેજ લાઈન સાથે જોડાણ માટે જરૂર જણાયે સિમ્પલ ચેમ્બર કે મશીનહોલ બનાવવાની અને લાઈન નાખવાની કામગીરી પણ સુરત મહાનગરપાલિકા પોતાના ખર્ચે કરી આપશે. જોકે, સોસાયટીના આંતરિક માર્જિનમાંથી મુખ્ય રસ્તા સુધી કનેક્શન લાવવાની જવાબદારી અને ખર્ચ મિલકતદારે પોતે ભોગવવાનો રહેશે. ભવિષ્યમાં જ્યારે લાઈન નંખાશે ત્યારે આ નીતિ મુજબ કનેક્શન આપવામાં આવશેશહેરના રહેણાંક એકમો માટે પણ આ દરખાસ્તમાં મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. પાલિકાના રેકોર્ડ મુજબ જે રહેણાંક મિલકતો પાસે કાયદેસર પાણીનું જોડાણ છે, તેમનું ડ્રેનેજ કનેક્શન તાંત્રિક રીતે કાયદેસર જ ગણાશે તેમછતાં, જો આવા રહેણાંક એકમોનું જોડાણ સ્ટોર્મ વોટર લાઈનમાં હોવાનું જણાશે, તો આ યોજના હેઠળ પાલિકા દ્વારા તેને ડ્રેનેજ લાઈનમાં જોડીને કાયદેસર કરી આપવામાં આવશે. જ્યાં હાલ મુખ્ય ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં પણ અરજીઓ સ્વીકારવામાં આવશે અને ભવિષ્યમાં જ્યારે લાઈન નંખાશે ત્યારે આ નીતિ મુજબ કનેક્શન આપવામાં આવશે. વિશેષ રાહત યોજના 31 ડિસેમ્બર 2026 સુધી જ અમલમાં રહેશેપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ડ્રેનેજ કનેક્શન નિયમિત થવાથી મિલકતનું અનધિકૃત બાંધકામ કે વસવાટ કાયદેસર ગણાશે નહીં, કે તેનાથી મિલકતના ટાઈટલ કે માલિકી હક્કમાં કોઈ ફેરફાર થશે નહીં. આ વિશેષ રાહત યોજના 31 ડિસેમ્બર 2026 સુધી જ અમલમાં રહેશે. ત્યારબાદ જો કોઈ ગેરકાયદે કનેક્શન ઝડપાશે, તો વર્ષ 2018 અને 2023 ના મૂળ ઠરાવો મુજબ 10% ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ત્રણ ગણો ચાર્જ વસૂલવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 12:05 am

'સુરતી પરિવારે ભગવાનની પૂજા કરીને 2 લાખ કેનાલમાં પધરાવ્યા!':એક ભૂલે ફાયર બ્રિગેડના જવાનોને 20 મિનિટ ધંધે લગાડ્યા, પાણીમાંથી નોટોના બંડલ શોધવામાં બે જવાન ઈજાગ્રસ્ત

સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે પૂજા-સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડુબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી. આ પૈસાની શોધખોળમાં ફાયરબ્રિગેડના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારે પૂજાની સામગ્રી સાથે 2 લાખ પણ પાણીમાં પધરાવી દીધા હતામળતી માહિતી અનુસાર પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. ઘરે પહોંચ્યા બાદ તિજોરી જોતા ખબર પડીઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ બાબતની જાણ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાં જ ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પૈસાની શોધખોળમાં ફાયર બ્રિગેડના બે જવાન ઈજાગ્રસ્તફાયર સબ ઓફિસર સુનિલ ચૌઘરીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડુબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના ચાર બંડલ મળી આવ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લિંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી.જોકે, આ શોધખોળ દરમિયાન ફાયરબ્રિગેડના બે જવાનોને કાચ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યોએ આ મુશ્કેલ સમયમાં મદદ માટે ડુંભાલ ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 12:05 am

સુરત મહાનગરપાલિકાનો લોકહિત માટે મોટો નિર્ણય:ખાનગી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા અને ફ્રી ટ્રી ટ્રીમિંગ માટે સ્થાયી સમિતિનો નિર્ણય

સુરત શહેરને વધુ સ્માર્ટ, સુવિધાજનક અને પર્યાવરણલક્ષી બનાવવાની દિશામાં સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આજે બે મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન બી. પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી બે અલગ-અલગ દરખાસ્તોને સમિતિની બેઠકમાં 'વધારાના કામ' તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સુરતની હજારો ખાનગી સોસાયટીઓમાં રહેતા લાખો નાગરિકોને સીધો ફાયદો થશે. ડ્રેનેજ, પાણી અને રસ્તાની નવી સુવિધાઓજો કોઈ ખાનગી સોસાયટીના મંજૂર લે-આઉટ પ્લાનમાં રસ્તો દર્શાવેલ ન હોય, પરંતુ તે ભાગનો વર્ષોથી એપ્રોચ રોડ તરીકે વપરાશ થતો હોય, તો તેને હવે 'આંતરિક રસ્તો' ગણી લેવામાં આવશે. આવા રસ્તાઓ પર જનભાગીદારી યોજના હેઠળ ડ્રેનેજ, પાણી અને રસ્તાની નવી સુવિધાઓ પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવશે. પેવર બ્લોકની સુવિધા માળખાકીય સુવિધાસોસાયટીમાંથી પસાર થતા ટી.પી. રોડ જે અગાઉ જોગવાઈમાં નહોતા, તેને હવે આંતરિક રસ્તા ગણીને ત્યાં સી.સી. રોડની સુવિધા આપવામાં આવશે. સોસાયટીના કોમન પ્લોટમાં પણ હવે પેવર બ્લોકની સુવિધા માળખાકીય સુવિધા તરીકે પાલિકા દ્વારા આપી શકાશે. ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાની અને અકસ્માતની ભીતિબીજી એક મહત્વની દરખાસ્તમાં પર્યાવરણના રક્ષણ સાથે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ખાનગી સોસાયટીઓમાં મોટા વૃક્ષોનું કટીંગ કરવુ એ રહેવાસીઓ માટે મોંઘો અને મુશ્કેલ પ્રશ્ન હોય છે. સાધનોના અભાવે કે ઊંચા મજૂરી દરને કારણે વૃક્ષોનું યોગ્ય કટીંગ થતુ નથી, જેના પરિણામે વાવાઝોડા કે ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાની અને અકસ્માતની ભીતિ રહે છે. પાલિકા દ્વારા વિનામૂલ્યે વૃક્ષોનું ટ્રીમિંગહવેથી જે ખાનગી સોસાયટીઓ લોકફાળો ભરે છે અથવા અનુદાન મેળવતી હોય, તેવી સોસાયટીઓમાં પાલિકા દ્વારા વિનામૂલ્યે વૃક્ષોનું ટ્રીમિંગ કરી આપવામાં આવશે. આ કામગીરી માટે પોલપ્રુનર અને ચેઈન-સો જેવા આધુનિક સાધનો સાથે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એજન્સીની નિમણૂક કરવામાં આવશે. ટ્રીમિંગ બાદ નીકળતા ગાર્ડન વેસ્ટના નિકાલ માટે પાલિકા દ્વારા અલગથી વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી સોસાયટીમાં ગંદકી ન થાય.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 11:03 pm

વડોદરામાં મહિલાઓ માટે રોજગાર મેળો:8 માર્ચે 45 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ, સ્નાતક મહિલાઓ પાત્ર

વડોદરામાં 8 માર્ચે મહિલાઓ માટે વિશેષ એપ્રેન્ટિસ અને રોજગાર મેળાનું આયોજન કરાયું છે. આ મેળો મોડેલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ, ફેસ ટુ ફેસ ચેનલ વડોદરા 2 શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાશે. આ ભરતીમેળો 8 માર્ચ, રવિવારના રોજ સવારે 10 કલાકે 302-એટલાન્ટિસ હાઇટ્સ, સારાભાઈ કંપાઉન્ડ, ગેંડા સર્કલ, વડોદરા ખાતે યોજાશે.વીમા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી 18 વર્ષથી વધુ વયની મહિલા ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા ફક્ત મહિલાઓ માટે જ તકો પૂરી પાડવામાં આવશે. 21 થી 30 વર્ષની સ્નાતક મહિલાઓને ભારત સરકારની એપ્રેન્ટિસ યોજના હેઠળ એપ્રેન્ટિસ તરીકે જોડાવાની તક મળશે. જ્યારે 30 થી 45 વર્ષની સ્નાતક મહિલાઓને વીમા ક્ષેત્રમાં સીધી રોજગારી માટે તક અપાશે. આ ઉપરાંત, 18 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે 'વુમન ઇન્સ્યોરન્સ મેનેજર' તરીકે પણ તકો ઉપલબ્ધ છે. આ ભરતી મેળામાં 'લાઇફ પ્લાનિંગ ઓફિસર સેલ્સ અને માર્કેટિંગ'ની કુલ 45 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવાશે. રસ ધરાવતી અને પાત્રતા ધરાવતી ગ્રેજ્યુએટ મહિલા ઉમેદવારોને તેમના બાયોડેટા સાથે સ્વખર્ચે નિર્ધારિત સ્થળે હાજર રહેવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 10:21 pm

લિંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવનાર ડોક્ટરની અટકાયત:લાજપોર જેલમાં પત્નીને મળવા આવતા જ સમૃદ્ધ જીવન ફુડ્સનો માલિક ઝડપાયો, ટી-20 મેચ પર સટ્ટો રમાડતા બે સગા ભાઈઓની ધરપકડ

સુરતના લિંબાયત વિસ્તારમાં એક વીડિયોવાયરલ કરી ધાર્મિક લાગણી દુભાવનાર ડોક્ટર અમિતની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ધર્મના ધર્મગુરુ વિશે આપત્તિજનક ટિપ્પણી કરતા ધરપકડ કરાઈ છે. બીજી તરફ પીસીબી પોલીસે કરોડોના કૌભાંડી મહેશ મોતેવારને લાજપોર જેલ પાસે વોચ ગોઠવી દબોચી લીધો છે તેમજ પાલ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાંથી હાઈટેક સાધનો સાથે સટ્ટો રમાડતા બે સગા ભાઈઓ પકડાયા છે. લિંબાયતમાં સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરનાર ડોક્ટરની ધરપકડસુરતના લિંબાયત વિસ્તારમાં ડોક્ટર અમિત નામના શખ્સે અન્ય ધર્મ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વહેતો થતા જ લિંબાયત પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. ડીસીપી કાનન દેસાઈએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ કૃત્ય વ્યક્તિગત છે અને તેની સાથે કોઈ અન્ય સંગઠન જોડાયેલું નથી. પોલીસે સ્થળ પર પેટ્રોલિંગ વધારી દીધું છે અને શાંતિ જાળવવા માટે સામાજિક આગેવાનો સાથે મીટિંગ કરી છે. પોલીસની અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા જાહેર જનતાને અપીલશહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે લાલ આંખ કરતા ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની અફવાઓ પર લોકોએ ધ્યાન આપવું નહીં. આરોપી ડોક્ટર અમિત વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી ભડકાઉ પોસ્ટ ફેલાવનાર અન્ય શખ્સોને પણ ઝડપી શકાય. પોલીસ પ્રશાસન દ્વારા લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સાથ આપવા વિનંતી કરવામાં આવી છે. સમૃદ્ધ જીવન ફુડ્સના નામે કરોડોની છેતરપિંડી કરનાર મહેશ મોતેવાર ઝડપાયોસુરત શહેર પીસીબી શાખાને મોટી સફળતા મળી છે, જેમાં વર્ષ 2024થી નાસતા ફરતા આર્થિક ગુનેગાર મહેશ કિશન મોતેવારની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહેશે 'સમૃદ્ધ જીવન ફુડ્સ ઇન્ડિયા' અને 'સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો-ઓપરેટિવ સોસાયટી' જેવી સંસ્થાઓ ઉભી કરી હતી. આ કંપનીઓની વિવિધ બ્રાન્ચો ખોલી તેણે નિર્દોષ ગ્રાહકોને 16 ટકા જેટલા ઉંચા વ્યાજની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. આશરે 29 લાખથી વધુની માતબર રકમનું ફુલેકું ફેરવી તે પોતાની ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો. લાજપોર જેલમાં પત્નીને મળવા આવતા જ પીસીબીએ આરોપીને દબોચ્યોકરોડોના કૌભાંડમાં સંડોવાયેલા આરોપી મહેશ મોતેવારની પત્ની અગાઉ આ જ ગુનામાં જેલહવાલે છે અને હાલમાં લાજપોર જેલ ખાતે સજા કાપી રહી છે. આરોપી મહેશ તેની પત્નીને મળવા માટે સુરતની લાજપોર જેલ ખાતે આવ્યો હોવાની ચોક્કસ બાતમી પીસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે જેલની આસપાસ ગુપ્ત વોચ ગોઠવી હતી અને પુણેના ધનકોડી વિસ્તારના વતની એવા 57 વર્ષીય મહેશ મોતેવારને દબોચી લીધો હતો. આ ધરપકડથી દાહોદમાં નોંધાયેલા ચિટિંગના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. 16 ટકા વ્યાજની લાલચ આપી ગ્રાહકોના લાખો રૂપિયા ઓહિયા કરી ગયોપકડાયેલા આરોપી મહેશની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે ગ્રાહકોને ટૂંકા સમયમાં નાણાં બમણા કરવાની અને ઉંચા વ્યાજની લાલચ આપી હતી. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે છેતરપિંડી અધિનિયમ હેઠળ ગંભીર ગુના નોંધાયેલા છે. આરોપીએ સ્વીકાર્યું હતું કે દાહોદમાં 29.24 લાખ રૂપિયાનું રોકાણ કરાવી તે રાતોરાત ઓફિસને તાળા મારી ભાગી ગયો હતો. હવે સુરત પોલીસે તેનો કબ્જો આગળની તપાસ માટે દાહોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પાલના વિમલનાથ વ્યુ એપાર્ટમેન્ટમાં ચાલતા હાઈટેક સટ્ટાના અડ્ડા પર દરોડોસુરત ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે પાલ વિસ્તારમાં આવેલા વિમલનાથ વ્યુ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર સી-303માં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી બે સગા ભાઈઓ ધવલ શાહ અને મનીષ શાહ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ બંને ભાઈઓ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી ટી-ટ્વેન્ટી મેચ પર ઓનલાઇન લાઈવ સટ્ટો રમાડતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 18 નંગ મોબાઈલ ફોન, રાઉટર અને અન્ય ડિજિટલ સાધનો મળી કુલ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હીરાના ધંધામાં દેવું વધી જતા બંને ભાઈઓ સટ્ટાખોરીના રવાડે ચઢ્યાધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ધવલ અને મનીષ અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ બજારની મંદી અને ધંધામાં મોટી ખોટ જવાને કારણે તેમના પર દેવું વધી ગયું હતું. આ દેવામાંથી મુક્ત થવા અને ટૂંકા સમયમાં કરોડો રૂપિયા કમાવાની લાલચે તેઓ સટ્ટાના ગેરકાયદેસર વ્યવસાયમાં ઉતરી ગયા હતા. હીરાના વેપારીમાંથી બુકી બનેલા આ ભાઈઓ પાલ જેવા પોશ વિસ્તારમાં રહીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. મુંબઈ અને દુબઈના આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથે જોડાયેલા હતા તારતપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ સટ્ટાખોરીનું નેટવર્ક માત્ર સુરત પૂરતું મર્યાદિત નહોતું. આરોપીઓ dollar365.com, DMS અને GYM જેવી વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ગ્રાહકોને આઈડી આપતા હતા. આ માટેની લિંક અને આઈડી તેઓએ મુંબઈના 'મિત્તલ', સુરતના 'જલીયાન' અને દુબઈમાં બેઠેલા 'વિનાયક' નામના મુખ્ય બુકીઓ પાસેથી મેળવી હતી. પોલીસે આ ત્રણેય મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ આંતરરાષ્ટ્રીય લિંકને કારણે કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. 18 મોબાઈલ અને લેપટોપ વડે મેચના દરેક બોલ પર લાગતો હતો સટ્ટોપોલીસે જ્યારે ફ્લેટમાં પ્રવેશ કર્યો ત્યારે બંને આરોપીઓ બેડરૂમમાં નાના સ્ટડી ટેબલ પર 18 મોબાઈલ ફોન અને લેપટોપ ગોઠવીને લાઈવ મેચ જોઈ રહ્યા હતા. તેઓ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રન, ઓવર અને હાર-જીત પર સોદા પાડી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અત્યંત આધુનિક પદ્ધતિથી રાઉટર અને ચાર્જરના સેટઅપ સાથે ગ્રાહકોના સંપર્કમાં હતા. જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની વિગતો તપાસતા અનેક ગ્રાહકોના નામ અને નાણાકીય વ્યવહારની વિગતો મળી આવી છે, જેના આધારે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 10:15 pm

બે વર્ષ બાદ સુરતનું સબસર ગરનાળું ખુલશે:લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, સુરત મેટ્રો અને રેલવે સ્ટેશનની કામગીરીમાં વેગ

ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મેટ્રો અને રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરીને કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને વરાછા, કાપોદ્રા, લંબે હનુમાન રોડ અને કામરેજ તરફથી આવતા લાખો લોકો માટે 'લાઈફલાઈન' સમાન સબરસ ગરનાળું છેલ્લા બે વર્ષથી બંધ હોવાને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે, હવે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનની સ્થળ મુલાકાત બાદ આ સમસ્યાનો સુખદ અંત આવવાની તૈયારી છે. સબરસ ગરનાળું બંધ થવાથી વરાછા મેઈન રોડ પર ટ્રાફિકસુરતના સ્ટેશન વિસ્તારને વરાછા અને લંબે હનુમાન રોડ સાથે જોડતા બે મુખ્ય માર્ગો છે. એક ખાંડ બજાર ગરનાળું અને બીજું સબરસ હોટલ પાસેનું ગરનાળું, જ્યારે પણ રેલવે સ્ટેશનની પૂર્વ દિશાએથી પશ્ચિમ દિશામાં સ્ટેશન તરફ આવવું હોય, ત્યારે આ બે ગરનાળા જ એકમાત્ર વિકલ્પ છે. સબરસ ગરનાળું બંધ થવાને કારણે વરાછા મેઈન રોડ પર વાહનોનું ટ્રાફિક અસહ્ય વધી ગયું હતું, જેના કારણે પોદ્દાર આર્કેટ અને સહારા દરવાજા વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. કમિશનરની અધ્યક્ષતામાં બેઠક અને વિઝિટઆજે સુરત મનપા કમિશનર એમ. નાગરાજન, સિટી એન્જિનિયર ધર્મેશ ભગવાકર, મેટ્રો રેલના અધિકારીઓ, સીટકો, રેલવે પોલીસ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી સહિતના કાફલાએ સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મેટ્રોની કામગીરીમાં ઝડપ લાવવા અને જનતાને પડતી તકલીફો ઓછી કરવાનો હતો. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે સબરસ ગરનાળા પર મોટાભાગનું સ્લેબ ફિલિંગ અને સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે. આ પરિસ્થિતિને જોતા કમિશનર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી 15 દિવસમાં 20 ફૂટની પહોળાઈ સાથે હંગામી ધોરણે આ ગરનાળું વાહનચાલકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવે. ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના માસ્ટર પ્લાનમાત્ર સબરસ ગરનાળું જ નહીં, પણ સમગ્ર સ્ટેશન વિસ્તારને ટ્રાફિકમુક્ત કરવા માટે કમિશનર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં રેલવે સ્ટેશનની બરાબર સામે રિક્ષા ચાલકોના આડેધડ પાર્કિંગ અને સ્ટેન્ડને કારણે મુસાફરોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. આ સમસ્યાના ઉકેલ માટે કમિશનરે આદેશ આપ્યો છે કે, દિલ્હી ગેટ પાસે જે જૂનું પેટ્રોલ પંપ તોડી પાડવામાં આવ્યું છે, તે ખાલી જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ ખસેડવામાં આવે. આનાથી સ્ટેશનનો મુખ્ય માર્ગ મોકળો થશે. આ સાથે સરદાર પટેલની પ્રતિમા પાસે સીટકોની કામગીરી ચાલી રહી છે, જેને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. કમિશનરે સૂચના આપી છે કે જે જે ભાગમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાંથી તાત્કાલિક ધોરણે બેરીકેટ્સ હટાવી લેવામાં આવે જેથી વાહનચાલકોને થોડી વધુ જગ્યા મળી શકે. રસ્તાને ખુલ્લો કરવા સિટી એન્જિનિયરને તાકીદલાલ દરવાજાથી આયુર્વેદિક કોલેજ સુધીના રસ્તાને પહોળો કરવા માટે અગાઉ લાઈન દોરી નાખવામાં આવી હતી. આ લાઈન દોરીનો ઝડપથી અમલ કરી રસ્તાને ખુલ્લો કરવા માટે પણ સિટી એન્જિનિયરને તાકીદ કરવામાં આવી છે. આ રસ્તો પહોળો થવાથી સ્ટેશનથી કતારગામ અને ચોકબજાર તરફ જતો ટ્રાફિક હળવો થશે. પોલીસ કર્મચારીઓને આ માર્ગ ખુલવાથી મોટી રાહતવરાછા અને કામરેજના લોકોને હવે સ્ટેશન પહોંચવા માટે પોદ્દાર આર્કેટનો લાંબો ફેરો નહીં લેવો પડે. તેથી ટ્રાફિકમાં ઊભા રહેવાથી થતો પેટ્રોલ-ડીઝલનો વ્યય ઘટશે. અને સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરતા પોલીસ કર્મચારીઓને આ માર્ગ ખુલવાથી મોટી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 10:12 pm

શહેરમાં ટ્રાફિક હળવો કરવા AMCની કાર્યવાહી:વસ્ત્રાપુર-ગુરુકુળ રોડ પર 7 દુકાનો સીલ કરાઈ, ફૂટપાથ અને માર્જિનની જગ્યામાં ખાણીપીણી સ્ટોલ શરૂ કર્યા'તા

શહેરના વસ્ત્રાપુર તળાવ, બોડકદેવ અને ગુરુકુળ રોડ ઉપર કેટલાક ખાણીપીણીની દુકાનો ધરાવતા તેમજ કોમ્પલેક્ષના ફૂટપાથ અને માર્જિનની જગ્યાના આગળના ભાગે ટેબલ ખુરશીઓ નાખીને ખાણીપીણીના સ્ટોલ ઊભી કરનાર દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર તળાવ અને ગુરુકુળ રોડ ઉપર સાત જેટલી દુકાનોને સીલ કરી દીધી છે. રોડ ઉપર ટ્રાફિક ન થાય તેના માટે કોમ્પ્લેક્સ ના ફૂટપાથ અને માર્જિનની જગ્યામાં પાર્કિંગ કરાવવામાં આવે છે, પરંતુ આ જગ્યામાં પાણીપુરીની દુકાનો ઊભી કરી દેવામાં આવતી હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેથી એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. AMC દ્વારા 7 દુકાનોને સીલ કરવાની કાર્યવાહીશહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા કોમ્પ્લેક્સો અને બિલ્ડિંગોમાં પાર્કિંગની જગ્યામાં વાહનો પાર્કિંગ કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે લોકો જગ્યામાં પાર્કિંગ ન કરાવતા હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુરુકુળ રોડ, વસ્ત્રાપુર તળાવ, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં કેટલાક દુકાનદારો દ્વારા પોતાની દુકાનની આગળ માર્જિનની જગ્યા અને ફૂટપાથ ઉપર વાહન પાર્કિંગ કરાવવામાં આવતું હોય છે. જેને લઇને ગુરુકુળ રોડ પર નીલમ સેન્ડવીચ, આંટી દે પરાઠે, શિવમ સ્નેક અને વસ્ત્રાપુર તળાવ રોડ પર રાજા રાણી ફ્રુટ્સ, મૈસુર ઢોંસા, લીલા સેન્ડવીચ, વિવેક ચાઇના ટાઉન સહિત કુલ 7 જેટલી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. દરેકને વહીવટી ચાર્જ પેટે રૂ.50 હજારની નોટિસ ફટકારીબાંધકામ સાઈટોમાં ગ્રીન નેટ લગાવવાની વ્યવસ્થા ન કરેલ હોવાથી/ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં નહીં મૂકી શહેરના વાતાવરણને નુકશાન કરવા બદલ ચાંદલોડીયા વોર્ડમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આદિતી સેફયાર તથા શ્લોક એમાલ્ટ્સ, ગોતા વોર્ડમાં સત્યમ મંગોલિયા, આર્કેડિયા-57, સાંકેથમ લેક વ્યૂ, આર્કેડિયા-111, ધ સેવન, આત્મન ગેન્ડયોર તથા થલતેજ વોર્ડમાં સ્ટેટ્સ અલ્ટેઝા સરકયુલરનો ભંગ કરવા બદલ બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી છે. તેમજ દરેકને વહીવટી ચાર્જ પેટે રૂ.50000/-ની નોટિસ આપવામાં આવી છે. ટીપી રોડ ઉપરના 120 કોમર્શિયલ બાંધકામો દૂર કરાયાશહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે ઉત્તર ઝોનમાં નેશનલ હાઈવે 8 પર નરોડાના ટોયેટા સર્કલથી નાનાચિલોડા બ્રિજ સુધીના 60 મીટર અને નાના ચિલોડા ગામ તરફના 30 મીટર પહોળા રોડ ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. ટીપી રોડ ઉપર આવતા 120 જેટલા કોમર્શિયલ બાંધકામોને પણ દૂર કરવામાં આવ્યા છે. આ રોડ ખુલ્લો થવાના કારણે નરોડા પાટિયા તરફથી નાનાચિલોડા સુધી ટ્રાફિકને રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:49 pm

સુરત મનપા પર વિપક્ષના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ:એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા પાયલ સાકરીયાની ઉગ્ર માંગ

સુરત મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન વરાછા વિસ્તારમાં આવેલા મગોબ-ડુંભાલમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક ડેવલપ કરવાના પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિ અને વહીવટી નિષ્ફળતાના આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ શાસક ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ઇજારદારોને આર્થિક ફાયદો કરાવવા માટે પાલિકાના હિતોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. તેમણે આ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને કસૂરવાર ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની અને કરોડોની વસૂલાત કરવાની ઉગ્ર માંગ કરી છે. વર્ષ 2012થી પ્રોજેક્ટ લટકેલો રહ્યોવર્ષ 2012માં સ્થાયી સમિતિના ઠરાવ નંબર 1123/2012 થી ટી.પી. સ્કીમ નંબર 53 મગોબ-ડુંભાલમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે 'રાજગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ' (સુરત) અને 'કેશવ હોલીડે રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ' (મહેસાણા) ના કોન્સોર્ટીયમને કામગીરી સોંપવામાં આવી હતી. પાયલ સાકરિયાએ આક્ષેપ કર્યો છે કે, 2012થી આજદિન સુધી આ ઇજારદાર દ્વારા ઠરાવની શરતો અને જોગવાઈઓનું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ ડેવલપ કરવામાં ઇજારદાર નિષ્ફળ રહ્યો છે અને પાલિકાને કરવાની થતી કરોડો રૂપિયાની ચૂકવણીઓ પણ હજુ સુધી કરવામાં આવી નથી. 'મીડિયેટર'ના નામે કરોડોની છૂટછાટનો ખેલસૌથી ગંભીર આક્ષેપ મીડિયેટરની ભૂમિકા અંગે કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતાના જણાવ્યા અનુસાર, જ્યારે ઇજારદાર બાકી નીકળતી રકમ અને પેનલ્ટી ચૂકવવામાં અસમર્થ સાબિત થયા, ત્યારે તેમણે ચુકવણીઓમાં રાહત મેળવવા માટે મધ્યસ્થી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આશ્ચર્યજનક રીતે, સુરત મનપાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. પાયલ સાકરિયાએ જણાવ્યું કે, મીડિયેટર દ્વારા ઇજારદારની ફેવરમાં જે અભિપ્રાયો આપવામાં આવ્યા છે, તેનાથી સુરત મનપાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ભાજપના શાસકો પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા અને ઇજારદાર સાથે મેળાપીપણું કરીને મનપાની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. અબજો રૂપિયાની કિંમતી જમીન ઇજારદારના ચરણોમાં ધરી દેવામાં આવી છે. 'સામાન્ય જનતાને ખોળ અને બિલ્ડરોને ગોળ'વિપક્ષી નેતાએ શાસકોની નીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, મનપા અત્યારે સામાન્ય પ્રજા માટે ખોળ અને માનીતા બિલ્ડરો માટે ગોળ જેવી નીતિ અપનાવી રહી છે. સામાન્ય નાગરિકો પાસેથી વેરાની કડક વસૂલાત કરવામાં આવે છે, જ્યારે મોટા બિલ્ડરો અને ઇજારદારોને કરોડોની રાહતો આપવામાં આવે છે. પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, સુરતની અંદર મગોબ વિસ્તારમાં આવેલી ટીપી-53ની અંદર જે આપણી સુરત મહાનગરપાલિકાની જગ્યા હતી, એ જગ્યાની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટેનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કામ એટલે કહેવાયને કે વોટર પાર્ક બનાવવાનું કામ હતું. આ વોટર પાર્ક બનાવવા માટે જે-તે કોન્ટ્રાક્ટરને જે-તે સમયે આ જગ્યા આપેલી, કરારો થયેલા અને એ કરાર પ્રમાણે જે-તે કોન્ટ્રાક્ટરે સમય મર્યાદાની અંદર આખું ડેવલપ કરવાનું હતું. સુરત મહાનગરપાલિકામાં પૈસા ભર્યા નથીડેવલોપ કર્યા બાદ એમને જે જગ્યાનું જે ભાડું છે, એ મહાનગરપાલિકાને ચૂકવવાનું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ જે કોન્ટ્રાક્ટર છે રાજગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ એમણે દર વખતે નાના-મોટા બહાનાઓ બતાવીને કે 'ભાઈ અમારી પાસે આવી રીતના પૈસા ભરવાના નથી, અમે ભરીશું નહીં, અમારા માટે નુકસાનકારક છે' આ તે બધા અલગ-અલગ પ્રકારના બહાના બતાવીને એમણે સુરત મહાનગરપાલિકાને પૈસા ભર્યા નથી. પૈસા કઢાવવા ભાજપના શાસકોએ વચ્ચે મિડિએટર રાખ્યાછેલ્લે મહાનગરપાલિકા પણ કહેવાયને કે એકદમ બિચારી થઈ ગઈ હોય એવી રીતના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વચ્ચે મિડિએટર રાખ્યા કે તમે આ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા કઈ રીતના વસૂલી શકાય એના માટેનું આયોજન કહો. ત્યારે મિડિએટરે પણ કોન્ટ્રાક્ટરની તરફદારી કરી હોય એવી રીતના કે 'ભાઈ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નથી થઈ તો તમે હજી સમય લંબાવી આપો અને જે પૈસા જે છે કે વસૂલવાના છે, ખરેખર કોન્ટ્રાક્ટરની વાત સાચી છે, પૈસા આપી શકે એવી પરિસ્થિતિ નથી, ઘણા સમયથી પાર્ક બંધ હતો' આ તેવા બધા બહાનાઓ બતાવ્યા હતા. જગ્યા એમની પાસેથી પાછી લઈ લેવી જોઈએજેમનું કામ આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવ્યું હતું. અમારી સ્પષ્ટ માંગ એ છે કે જ્યારે કરોડો રૂપિયાની જમીન આપણે કોઈને ડેવલપ કરવા માટે આપી હોય અને સમય મર્યાદાની અંદર ડેવલપ ના કરી શકે, તો એ જગ્યા એમની પાસેથી પાછી લઈ લેવી જોઈએ. અને વેરો શા માટે ના ભરે? આજે સામાન્ય માણસ વેરો નથી ભરતો તો તમે 18 ટકાના ટેક્સ સાથે તમે પૈસા વસૂલો છો, તો એમની પાસે પણ તમે વ્યાજ સાથેના પૈસા વસૂલો. એ જે જગ્યા છે, ડેવલપ નથી કરી શકતા તો એમની પાસેથી લઈ લો. જે આટલા વર્ષોથી આપણને વેરો પણ નહોતા આપતા, આપણને જે પૈસા લેવાના નીકળતા હતા એ પૈસા આપતા નહોતા, સમય મર્યાદા ચૂકી ગયા છે તો એમને બ્લેકલિસ્ટ કરવા માટેની અમે સ્પષ્ટ માંગણી કરી છે. હાઈકોર્ટમાં અમેઝિયા દ્વારા અરજી કરાઈ હતીસ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, અમેઝિયાને કોર્પોરેશન દ્વારા જે જગ્યાની ફાળવણી કરવામાં આવેલી હતી, તેમાં કાયદાકીય ગૂંચ ઉભી થતા હાઈકોર્ટમાં અમેઝિયા દ્વારા અરજી કરવામાં આવેલી હતી અને હાઈકોર્ટ દ્વારા મીડિએશનની રજૂઆત કરવામાં આવેલી હતી. જેને આધારે જે મીડિએટર હતા તેમણે અભિપ્રાય આપ્યો છે અને તેના આધારે આપણે 22 કરોડ રૂપિયા આ આઠમા મહિના સુધીની ગણતરી છે અને ત્યાર પછીના આટલા દિવસ સુધીના જે ઠરાવની રકમ હશે, તે પ્રમાણે તેમણે ચુકવણું કરવાનું રહેશે. મનપાને કોઈપણ નફો મેળવવાનો આશય નહોતોસૌ પ્રથમ એક મહિનામાં 10 કરોડ રૂપિયા કોર્પોરેશનને આપવાના રહેશે અને બાકીની જે રકમ રહે છે તે ત્રિમાસિક ધોરણે અમેઝિયાએ ચુકવવાની રહેશે. વધુમાં આપણે મીડિએશનમાં હતા તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે આપણે આજે જગ્યા છે તે ફક્ત અને ફક્ત લોકોના મનોરંજન માટે આપીએ છીએ. આમાં સુરત મહાનગરપાલિકાનો કોઈ પણ નફો મેળવવાનો આશય નહોતો. પણ, લોકોને આપણે મનોરંજનનું સાધન પૂરું પાડી શકીએ તે માટે આ જગ્યા આપી છે અને તેના માટે જ આપણે આજે આ મંજૂર કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:43 pm

7 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ પહેલા આરોપી સામે ચાર્જશીટ:4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ, કોર્ટે કહ્યું- 'સ્ત્રી એ રત્ન છે, કોઈ વસ્તુ નથી'

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બે મહત્વના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક તરફ કોર્ટે પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનાર 40 વર્ષીય આરોપીને સખત આજીવન કેદની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. કોર્ટે સ્ત્રી સન્માન પર ચાણક્યના નીતિવચનો ટાંકીને પીડિતાને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. તો બીજી તરફ, કરોડોના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં DRI ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં આરોપીની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવતા કોર્ટે આરોપીની કસ્ટડીને ગેરકાયદે ઠેરવી છે. ચોકલેટની લાલચ આપી આરોપીએ માસૂમને પીંખી હતીઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2022ના રોજ પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી જ્યારે ઘર પાસે રમી રહી હતી, ત્યારે 40 વર્ષીય આરોપી રમેશ ઉર્ફે અજય પરમારની નજર તેના પર પડી હતી. આરોપીએ માસૂમને ચોકલેટ આપવાની લાલચ આપી ફોસલાવી હતી અને તેને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં આરોપીએ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. લોહીલુહાણ હાલતમાં રડતી રડતી બાળકી ઘરે પહોંચી અને માતાને પોતાની સાથે થયેલી આપવીતી જણાવી, જેના આધારે તુરંત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટનું અવલોકન 'જ્યાં નારીની પૂજા ત્યાં ભગવાનની કૃપા'આ કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારી વકીલ વિશાલ ફળદુની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે મનુસ્મૃતિ અને ચાણક્યના શ્લોકો ટાંક્યા હતા. કોર્ટે નોંધ્યું કે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે ચાણક્યના મતે સ્ત્રી અમૂલ્ય રત્ન છે, કોઈ વસ્તુ કે અલંકાર નથી. આ ચુકાદા દ્વારા કોર્ટે સ્ત્રીઓની સુરક્ષા અને ગરિમા જાળવવા પર ભાર મૂક્યો છે. પીડિતાને વળતર અને કડક સજાનો આદેશબાળકીના શારીરિક અને માનસિક આઘાતને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને માત્ર જેલની સજા જ નહીં, પરંતુ પીડિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રૂ. 6 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. આરોપી રમેશ પરમારે કરેલું કૃત્ય જઘન્ય હોવાથી તેને કોઈ પણ પ્રકારની રહેમ ન બતાવતા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાથી સુરતના કાયદાકીય વર્તુળમાં અને સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે બાળકો પર થતા અત્યાચારોને ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં. DRIએ ધરપકડ વગર જ ચાર્જશીટ ફાઈલ કરી દીધીક્રાઈમના બીજા એક કિસ્સામાં, DRI દ્વારા ગોલ્ડ સ્મગલિંગના કેસમાં તપાસમાં મોટી ખામી સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા રૂ. 7 કરોડના સોનાના કેસમાં મુખ્ય આરોપી સરફરાજ બાપુ રાજની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ચોંકાવનારી બાબત એ હતી કે DRI એ આરોપીની ધરપકડ કર્યાના મહિનાઓ પહેલા જ કોર્ટમાં તેની સામે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ ધરપકડ પહેલા ચાર્જશીટ રજૂ કરવી એ નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. DRIની ધરપકડ ગેરકાયદે ઠરીઆરોપી સરફરાજ તરફથી એડવોકેટ વિરલ ચલિયાવાલાએ કોર્ટમાં જંગ છેડ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે DRI એ પ્રોસીક્યુશન ફાઈલ કર્યું ત્યારે આરોપી હાજર પણ નહોતો અને તેની નકલ પણ અપાઈ નહોતી. ધરપકડ પહેલા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, છતાં પ્રક્રિયામાં લોચો માર્યો હતો. કાયદા મુજબ, ચાર્જશીટ ત્યારે જ ફાઈલ થાય જ્યારે આરોપી કસ્ટડીમાં હોય અથવા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થઈ હોય. કોર્ટે આ દલીલોને માન્ય રાખીને આરોપીની કસ્ટડીને ગેરકાયદેસર જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:29 pm

AMCએ સ્કૂલને રજૂઆત કરવાની તક આપી:સેવનથ ડે સ્કૂલની લીઝની જમીન બાબતે યોગ્ય પુરાવા સાથે રજૂઆત કરવા સમય અપાયો, યોગ્ય કારણ ન રજૂ કરે તો પરત લેવાશે

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીઝ પર જગ્યા આપવામાં આવી હતી. લીઝ કરારની શરતોનો ભંગ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ ફટકારી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો. આમ અમને ગુજરાત હાઇકોર્ટમાં સ્કૂલ તરફથી પિટિશન કરવામાં આવી હતી એ પરંતુ છેવટે સ્કૂલ દ્વારા પિટિશન પરત કરી લેવામાં આવી છે. હવે સ્કૂલને પોતાના તરફથી રજૂઆત કરવા માટેની તક આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્કૂલના સત્તાધીશોને બોલાવી જવા માંગવામાં આવશે જુઓ તેઓ દ્વારા આ બાબતે શરતોનો ભંગ થયો હશે તો કોર્પોરેશનની જગ્યાનો કબજો પરત લેવામાં આવશે. સ્કૂલ સંચાલકોને યોગ્ય રજૂઆત કરવા આપવામાં આવશેલીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલની જગ્યા મ્યુનિ.ની શરતોનો ભંગ કર્યો હશે તો તે જગ્યા હસ્તગત કરશે. લીગલ કમિટિમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી જમીનની શરતોનો ભંગ કર્યો હોવાથી તેને પરત લઇ લેવા માટે કરાયેલી કામગીરી માટે સ્કૂલ સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી પિટિશન પરત ખેંચી લીધી હતી. સ્કૂલ સંચાલકોને યોગ્ય રજૂઆત માટે તક આપવામાં આવશે. શરતોનો ભંગ થયો હોવાનું જણાશે તો જગ્યા પરત લવાશેસ્કૂલ સંચાલકોએ લેખીતમાં પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. જે પણ મુદતમાં સ્કૂલ તરફથી રજૂઆત કરવામાં આવે તેની મીનીટ્સ પણ લખવામાં આવશે. જો યોગ્ય રજૂઆત બાદ જો શાળાને જે શરતોને આધીન જગ્યા આપવામાં આવી હતી તે શરતોનો ભંગ થયેલો જણાશે તો તેવી સ્થિતિમાં મ્યુનિ. આ જગ્યા પરત લઇ લેશે. નોંધનીય છેકે, મ્યુનિ.નો સીધો આક્ષેપ હતો કે, જે સંસ્થાને મ્યુનિ. દ્વારા શાળા ચલાવવા જમીન અપાઇ હતી તેણે અન્યને આ જગ્યા સોંપી હતી. જેથી તેને અપાયેલી જગ્યાની શરતોનો ભંગ થયો છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:21 pm

લક્ષમણ ટાઉનશીપમાં ચોથા માળેથી પટકાતા મેટોડાના યુવકનું મોત:આર્થિક ભીંસમાં સોની વેપારીએ એસિડ પીધો, સારવાર દરમિયાન મોત; દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

મવડી વિસ્તારમાં 80 ફુટ રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં એક અજાણ્‍યો યુવાન ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થયાની જાણ થતાં 108ને બોલાવતા 108ના EMTએ આવી તપાસી યુવકને મૃત જાહેર કરી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક પાસેથી મળેલા ફોન તથા બીજા કાગળોને આધારે તપાસ કરતાં તેના વાલીવારસ મળી આવ્‍યા હતાં. મૃત્‍યુ પામનાર યુવાન મુળ કાલાવડનો અને હાલ મેટોડાની આસ્‍થા સોસાયટીમાં રહેતો મનિષ રમણિકભાઇ ધોળકીયા (ઉ.વ.34) હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક મનિષ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. મેટોડા આસ્‍થા સોસાયટીમાં પત્‍ની અને દીકરા-દીકરી સાથે રહેતો હતો. લક્ષમણ ટાઉનશીપમાં તે મોડી રાતે શું કરવા આવ્‍યો હતો? ચોથા માળે કોઇ પરિચીતને મળવા આવ્યો હતો કે પછી બીજા કોઇ કામે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક ભીંસમાં સોની વેપારીએ એસિડ પી જતા સારવારમાં મોતજામનગર રોડ પર વ્‍હોરા સોસાયટીમાં રહેતાં હિરેનભાઇ ધકાણે ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે પડધરી નજીક ન્‍યારા ગામના પાટીયા પાસે જઇ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત થતા પડધરી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર હિરેનભાઇ સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતાં હતાં. છેલ્લા બે મહિનાથી કામધંધો ચાલતો ન હોઇ તેના કારણે આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હિરેનભાઈને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ભેદી રીતે ગુમ 14 વર્ષની સગીરા પશ્ચિમ બંગાળમાંથી મળીગઇ તા. 11 ડિસેમ્બર 2025ના રોજ રૂખડીયાપરાની 14 વર્ષીય સગીરા પોતાની બેહેનના ઘરે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ જતાં સગીરાની માતાએ પ્રદ્યુમનનગર પોલીસમાં અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેક્નિકલ સોર્સીસ મદદથી માહિતી મેળવી પશ્ચિમ બંગાળના પૂર્બ બર્ધમાન જિલ્લાના બોરા ગામ ખાતેથી અપહરણ કરનાર આરોપી રાજેશ સંતરાની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી પરિવારને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશ સંતરાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યાની ખરાઈ થતાં પોલીસે અપહરણના ગુનામાં દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સગીરા એક કારખાનામાં મજૂરી કરવા જતી હતી, ત્યારે તેનો પરિચય રાજેશ સંતરા સાથે થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે બાદ રાજેશ સગીરાને લગ્નની લાલચ આપી પશ્ચિમ બંગાળ ખાતે ભગાડી ગયો હતો. કારચાલકે બાઈકને અડફેટે લેતા મોટાવડાના ખેડુતનું મોતરાજકોટ નજીક મોટાવડા ગામે રહેતાં અરવિંદભાઇ વાઘજીભાઇ પાંભર (ઉ.વ.65) અને તેના કુટુંબી ભાઇ જીવનભાઇ નરસીભાઇ પાંભર (ઉ.વ.70) બંને હોન્‍ડા પર બેસી ખીરસરા નજીક સાત હનુમાન મંદિર પાસે લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. ત્‍યાંથી પરત ફરતી વખતે સાંજે 8.30 વાગ્‍યે ખીરસરા-મોટાવડા વચ્‍ચેના રસ્‍તા પર એક કારના ચાલકે બાઇકને ઠોકરે લેતાં બંને ભાઇઓ ફંગોળાઇ ગયા હતાં અને કારમાં પણ ભારે નુકસા થયું હતું. અકસ્‍માતમાં જીવનભાઇ પાંભરનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો, જ્‍યારે અરવિંદભાઇ પાંભરને ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતાં, પરંતુ અહી તેમનું મોત થતા મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર મુકી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. અરવિંદભાઇ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. 4.10 લાખના 8 કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડ્યોરાજકોટ શહેર SOG દ્વારા ગ્રીનલેન્ડ ચોક પાસે શિવનગર તરફ જતા રસ્તામાં ફ્રુટનો વેપાર કરતા જંગલેશ્વરના સાગર ચોક આવાસ યોજનાના ક્વાર્ટર બ્લોક નંબર 4 ક્વાર્ટર નંબર 206માં રહેતા મૂળ જૂનાગઢના ઇબ્રાહિમ ઉર્ફે શાહબાઝ ઉર્ફે ટીકડો રજાકભાઇ શેખ (ઉ.વ.23)ને રૂપિયા 4.10 લાખના 8 કિલો અને 200 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પુછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો રાજસ્થાનના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાવ અને ઉલ્ટીની બીમારીથી 7 માસની બાળકીનું મોતજામનગર રોડ પર કલ્યાણ પાર્ક શેરી નંબર 2માં રહેતાં કલ્પેશભાઇ નકુમની 7 મહિનાની દિકરી હિતાંશીને બે દિવસથી તાવ-ઉલ્ટી થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો હતો. બનાવ અંગેની જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:18 pm

મગદલ્લામાં બનશે સુરતનું નવું કોર્ટ બિલ્ડીંગ?:દીકરીઓને જલ્દી ન્યાય અપાવો, પોક્સોના કેસોમાં ઝડપી ટ્રાયલ માટે DyCMની વકીલોનોને અપીલ

સુરતમાં નવી કોર્ટ બિલ્ડીંગ ક્યાં બનશે તે અંગે ચાલી રહેલી લાંબા સમયની અટકળોનો લગભગ અંત આવ્યો છે. આજે સુરત કલેકટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર સૌરભ પારઘી વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં નવી કોર્ટના સ્થળ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નવી કોર્ટ બિલ્ડીંગ માટે મગદલ્લા ગામની જગ્યા પર ચર્ચા હાથ ધરાઇ હતી, જે વકીલો અને અસીલો બંને માટે સુવિધાજનક સાબિત થશે. કલેકટર કચેરીમાં બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી કોર્ટ પહોંચ્યાજ્યારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે જ હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લઈને આ પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા કવાયત તેજ કરી છે. કલેક્ટર સાથેની મિટિંગમાં વહીવટી પ્રક્રિયાઓ અને જમીનની ફાળવણી અંગે વિગતવાર ચર્ચા કરી તેઓ સીધા જ સુરત જિલ્લા કોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વકીલ આલમ સાથે મુલાકાત કરી નવી બિલ્ડીંગના આયોજન અંગે માહિતી આપી હતી. 'પોક્સો'ના કેસોમાં ઝડપી ટ્રાયલ માટે વકીલોને અપીલકોર્ટ સંકુલની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીનો મુખ્ય ભાર માસૂમ દીકરીઓ પર થતા અત્યાચારો અને પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસો પર રહ્યો હતો. તેમણે વકીલોને સંબોધતા ભાવુક અપીલ કરી હતી કે, પોક્સો સંબંધિત કોઈપણ કેસમાં બને તેટલી ઝડપથી ટ્રાયલ ચલાવવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો અભિગમ ગુનેગારોને વહેલી તકે સજા અપાવી પીડિત દીકરીઓને ત્વરિત ન્યાય અપાવવાનો છે. તારીખ ન પાડો, દીકરીઓને ન્યાય અપાવો: હર્ષ સંઘવીહર્ષ સંઘવીએ વકીલો સમક્ષ હૃદયસ્પર્શી વાત મૂકતા જણાવ્યું હતું કે, હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ન રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો, પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે. આ જ ધરતીએ આપણને મોટા કર્યા છે. મારી વિનંતી છે કે પોક્સોના કેસોમાં ઓછામાં ઓછી તારીખો પડે અને ઝડપથી ગુનેગારને સજા થાય તેવો પ્રયાસ કરો. આ અપેક્ષા માત્ર મારી નથી, પરંતુ આખા રાજ્યની દીકરીઓની સુરક્ષા અને ન્યાય માટે છે. ઐતિહાસિક ચુકાદાઓ અને ઝડપી ન્યાય પર ભારહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપમાં ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી. હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ના રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે. આપ સૌ લોકોને પણ આ જ ધરતીએ મોટા કર્યા છે તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે, આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપથી ઝડપ જે ગુનેગાર હોય એને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા પણ જરૂરથી અમને સૌને છે અને અપેક્ષા માત્ર અને માત્ર આપણા શહેરની રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:08 pm

વિજાપુરના ડોક્ટર સાથે 1.63 કરોડની છેતરપિંડી:શિવમ કેસ્ટર કંપની પચાવી પાડવાના કાવતરામાં સાત સામે ફરિયાદ

વિજાપુરના જાણીતા ડો. ભરતકુમાર કચરાભાઈ પટેલે પોતાની માલિકીની 'શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રા.લી.' કંપનીના વેચાણ સોદામાં રૂ. 1.63 કરોડની છેતરપિંડી અને ઉચાપત અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં સાત શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિશ્વાસમાં લઈને કંપનીનો વહીવટ સંભાળ્યા બાદ આરોપીઓએ માલની અવરજવર વગર ખોટા બિલ બનાવી કંપનીના નાણાં ઓળવી લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. રૂ. 200 કરોડના ટર્નઓવરની કંપનીનો 23.51 કરોડમાં સોદો નક્કી થયોફરિયાદ અનુસાર ડો. ભરતભાઈ વિજાપુરમાં હોસ્પિટલ ચલાવતા હોવાથી સમયના અભાવે લાડોલ સ્થિત પોતાની અંદાજે રૂ. 200 કરોડના ટર્નઓવરવાળી કંપની વેચવા માંગતા હતા. પરિચિત વેપારી દિનેશભાઈ અને કૌશિકભાઈ પટેલે શૈલેષ ગોરધનભાઈ પટેલ અને સચિન સંઘવી સારા માણસો હોવાનો ભરોસો આપતા માર્ચ-2024માં રૂ. 23.51 કરોડમાં કંપનીનો સોદો નક્કી થયો હતો. કરાર મુજબ માર્ચ-2025 સુધીમાં રકમ ચૂકવવાની હતી. દરમિયાન નવેમ્બર-2024માં કંપનીનો વહીવટી કબજો શૈલેષ પટેલ અને સચિન સંઘવીને સોંપવામાં આવ્યો હતો. બોગસ બિલિંગ અને નાણાંની ઉચાપતનવા સંચાલકોએ વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં રૂ. 93 લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ બાકી રકમ ચૂકવવામાં ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ લખતરની 'માધવ એન્ટરપ્રાઇઝ'ના ભાગીદારો સાથે મળીને કંપનીમાં એરંડાનો માલ આવ્યા વગર જ બોગસ બિલિંગ (બિલ નં. ME-19 થી ME-67) તૈયાર કર્યા હતા. જે ટ્રક નંબરો દર્શાવવામાં આવ્યા હતા તેની ક્ષમતા કરતા વધુ માલ બતાવાયો હતો અને કંપનીના ગેટપાસ કે સ્ટોક રજિસ્ટરમાં કોઈ એન્ટ્રી વગર જ કરોડો રૂપિયાના પેમેન્ટ બેંકમાંથી મેળવી લીધા હતા. આરોપીઓએ માલની ડિલીવરી આપ્યા વગર કુલ રૂ. 1,63,01,597ના ખોટા બિલો બનાવી તે પૈકી રૂ. 1,02,97,860 જેવી મોટી રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત રૂ. 7.68 લાખની GST ચોરી કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. લાડોલ પોલીસ સ્ટેશનમાં સાત શખસો સામે ફરિયાદલાડોલ પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે શૈલેષ ગોરધનભાઈ પટેલ, સચિન અનરાજ સંઘવી, કૌશિક જયંતિભાઈ પટેલ, દિનેશ જયંતિભાઈ પટેલ, દર્શન જી. પટેલ તથા માધવ એન્ટરપ્રાઇઝના ભાગીદારો પ્રદીપભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:03 pm

'રાજ્ય સરકાર નોકરીદાતા છે, શોષણ કરી શકે નહીં':હોમગાર્ડનું દૈનિક ભથ્થુ પોલીસકર્મીના મિનિમમ પગાર અનુસાર કરવું, હાઈકોર્ટનો એક મહિનામાં નિર્ણય લેવા હુકમ

ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર રાજેશ જાની સહિત કુલ 6 અરજદારોએ એડવોકેટ એચ.કે. ઠાકોર અને ઉમેશ.ટી. મિશ્રાના સહયોગથી હોમગાર્ડના દૈનિક ભથ્થાને લઈને અરજી દાખલ કરી હતી. જે જસ્ટિસ મૌલિક શેલતની કોર્ટમાં રજૂ થઈ હતી. જેમાં હોમગાર્ડસને પણ રેગ્યુલર પગાર અને સરકારી નોકરી જેવા જ લાભો આપવાની માગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદારોની અરજી અંશત: માન્ય રાખતા હુકમ કર્યો છે કે, હોમગાર્ડસને મળતું દૈનિક ભથ્થું 450 રૂપિયાથી વધારીને પોલીસ કર્મચારીઓને મળતા મિનિમમ પગાર અનુસાર કરવું જોઈએ. રાજ્ય સરકારને આ માટે નિર્ણય લેવા એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 53 હજાર જેટલા હોમગાર્ડ્સ છે. હોમગાર્ડનું દૈનિક ભથ્થુ પોલીસકર્મીના લઘુત્તમ પગાર કરતા ઓછુંઆ કેસમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, અત્યારે હોમગાર્ડને દૈનિક ભથ્થું 450 રૂપિયા મળે છે. જે પોલીસ કર્મચારીના મળતા લઘુત્તમ પગાર કરતા ઓછું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હોમગાર્ડસના દૈનિક ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ-પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ કરવો જોઈએ. વર્ષ 2021માં હોમગાર્ડસનું દૈનિક ભથ્થું વધારીને 300 થી 450 રૂપિયા કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રના આદેશને અવગણી શકે નહીં. 'તેમને દૈનિક 650 રૂપિયા દૈનિક ભથ્થું મળે છે'રાજ્ય સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે, હોમગાર્ડસને પહેલા 200 રૂપિયા દૈનિક ભથ્થું મળતું હતું. તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું છે. ત્યારબાદ વર્ષ 2021માં 450 રૂપિયા તે સમયના લઘુત્તમ વેતન મુજબ નક્કી કરવામાં આવ્યું હતું. તેમને મેડિકલ ફેસિલિટી મળે છે, આ ઉપરાંત એક ફંડ પણ ઊભું કરવામાં આવ્યું છે. તેમનું મેસ એલાઉન્સ પણ 100થી વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે. આમ તેમને દૈનિક 650 રૂપિયા જેટલું દૈનિક ભથ્થું મળે છે. કેન્દ્ર સરકારની રીવ્યુ પિટિશન પર ચુકાદો આવવાનો બાકીસુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેની સામે કેન્દ્ર સરકારે રીવ્યુ પિટિશન દાખલ કરી હતી. તેની ઉપર ચુકાદો આવવાનો બાકી છે. વળી હોમગાર્ડની સેવા તે સ્વૈચ્છિક સેવા છે. જ્યારે પોલીસની ડ્યુટી અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક માટે હોય છે. હોમગાર્ડની જરૂર હોય ત્યારે જ ડ્યુટી ઉપર બોલાવવામાં આવે છે. 'રાજ્ય સરકાર કેન્દ્ર અને સુપ્રીમના આદેશોને નકારી શકે નહીં'જો કે, હાઇકોર્ટે નોધ્યું હતું કે, સુપ્રીમના ચુકાદાનું પાલન કરવા દરેક રાજ્ય બંધાયેલું છે. વર્ષ 2018માં પોલીસને મળતું મિનિમમ દૈનિક વેતન 631 રૂપિયા હતું. જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડના જવાનોને દૈનિક મેસના ભથ્થા તરીકે 200 રૂપિયા આપવાની વાત છે, પરંતુ સરકારી વકીલ તેમને આ ભથ્થું મળી રહ્યું છે કે નહીં તે સાબિત કરી શક્યા નથી. રાજ્ય સરકાર કેન્દ્ર અને સુપ્રીમના આદેશોને નકારી શકે નહીં. 'રાજ્ય સરકાર કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં'આથી હોમગાર્ડનું દૈનિક ભથ્થું 450 રૂપિયાથી વધારીને પોલીસ કર્મચારીઓને જે મિનિમમ પગાર મળે છે તે જ દૈનિક ધોરણે મુજબ આપવું જોઈએ. પોલીસ કોન્સ્ટેબલનેને હાલમાં લઘુતમ 21,000 થી લઈને 25000 રૂપિયા સુધીનો પગાર મળે છે. રાજ્ય એક આદર્શ નોકરી દાતા છે. તે કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં. વળી સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ રીવ્યૂ પિટિશન ફગાવી કાઢી છે. 'એક મહિનાની અંદર રાજ્ય સરકાર નિર્ણય લે'રાજ્ય લોકો ઉપર જુલમ કરી શકે નહીં. આ વાત બંધારણના સમાનતાના અધિકારોનો ભંગ કરનારી છે. રાજ્યની રજૂઆતોથી કોર્ટ સંતુષ્ટ નથી. જેથી એક મહિનાની અંદર રાજ્ય સરકાર નિર્ણય લે કે હોમગાર્ડ્સના 450 રૂપિયાના દૈનિક ભથ્થાને વધારીને પોલીસ કોન્સ્ટેબલને મળતા દૈનિક મિનિમમ વેજ જેટલું કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:55 pm

માળીયાના બગસરા ગામે નીલગાયનો શિકાર:તળાવ પાસે મૃત હાલતમાં મળી, ફાયરિંગના નિશાન

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે તળાવ નજીક એક નીલગાયનો શિકાર કરવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. નીલગાય મૃત હાલતમાં મળી આવી હતી. મૃત નીલગાયના શરીર પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત, તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ મારવામાં આવ્યા હોવાનું જણાયું હતું. આ નિશાનો શિકારની પુષ્ટિ કરે છે. ગામના જાગૃત વ્યક્તિને આ અંગેની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નીલગાયને મૃત હાલતમાં જોઈને તેમણે તાત્કાલિક સંબંધિત વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માળીયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર નીલગાયના શિકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ગ્રામજનોએ શિકાર કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:40 pm

બેંગકોક જતા બે વલસાડી પેસેન્જર પાસેથી 60 લાખના ડોલર જપ્ત:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ ટ્રોલી બેગ ખોલતાં ભાંડો ફૂટ્યો

ઈઝરાયલ-ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે ઘણા દેશોએ એર સ્પેસ બંધ કરી દીધા છે, જેના કારણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલમાં ખૂબ જ ઓછી ફ્લાઈટો ચાલી રહી છે. આવી જ પરિસ્થિતિમાં આજે બેંગકોક જતી ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા બે વલસાડના મુસાફરો (એક પુરુષ અને એક મહિલા) પાસેથી કસ્ટમ્સ વિભાગે 60 લાખથી વધુની વિદેશી ચલણી નોટો જપ્ત કરી છે, જેનાથી એરપોર્ટ પર ચકચાર મચી ગઈ છે. 60 લાખથી વધુની વિદેશી ચલણી નોટો જપ્તચોક્કસ બાતમીના આધારે કસ્ટમ્સ વિભાગના એર યુનિટ-અમદાવાદના અધિકારીઓએ આજે ફ્લાઈટ નંબર FD145 (બેંગકોક જતી)માં મુસાફરી કરી રહેલા બંને યાત્રીઓને અટકાવ્યા હતા. તેમના સામાન અને વ્યક્તિગત તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી અનુક્રમે USD 35,300 અને USD 35,040 (કુલ USD 70,340) મળી આવ્યા હતા, જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે ₹63 લાખ થાય છે. તપાસમાં બંને મુસાફરો વલસાડના હોવાનું જાણવા મળ્યું કસ્ટમ્સ એક્ટ 1962, FEMA 1999 અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (ચલણની નિકાસ અને આયાત) રેગ્યુલેશન્સની જોગવાઈઓ હેઠળ આ સંપૂર્ણ રકમ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંને મુસાફરો વલસાડના હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓ હાલમાં આ વિદેશી ચલણ ક્યાંથી મેળવ્યું, કોના માટે લઈ જતા હતા, તેનું સ્ત્રોત શું છે અને આ રકમ કેવી રીતે ભારતમાંથી બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. યુદ્ધના તણાવ વચ્ચે ઓછી ફ્લાઈટોમાંથી પણ આવી મોટી રકમ જપ્તઆ ઘટના એરપોર્ટ પર ચાલી રહેલી સઘન તપાસ અને સુરક્ષા વ્યવસ્થાનું પરિણામ ગણી શકાય છે કારણ કે, યુદ્ધના તણાવ વચ્ચે ઓછી ફ્લાઈટોમાંથી પણ આવી મોટી રકમ જપ્ત થવી એક મોટો ખુલાસો ગણાય છે. કસ્ટમ્સ વિભાગે આ મામલે વધુ તપાસ ચાલુ રાખી છે અને આગામી કલાકોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:36 pm

જીવનસાથી પસંદગી ઉત્સવ:સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળનો 33મો જીવનસાથી પસંદગી ઉત્સવ વસ્ત્રાલના માધવ ફાર્મમાં યોજાયો

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ, જે સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, તેના દ્વારા તાજેતરમાં એક અત્યંત સફળ અને ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની યશકલગી સમાન પ્રવૃત્તિ એવી '૩૩મો જીવનસાથી પસંદગી ઉત્સવ' ગત રવિવાર, 1લી માર્ચ 2026ના રોજ અમદાવાદના વસ્ત્રાલ સ્થિત માધવ ફાર્મ ખાતે દબદબાભેર યોજાયો. જેમાં ગુજરાત ભરમાંથી પ્રજાપતિ સમાજના 1108 જેટલા યુવક યુવતીઓએ ભાગ લઈ સ્ટેજ ઉપર આવી પોત- પોતાનો બાયોડેટા સાથે પરિચય આપી ને આ ઉત્સવને સફળ બનાવ્યો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સોવેનિયર વિમોચન સાથે કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે અધ્યક્ષ ડૉ. મૃણાલ કે.પ્રજાપતિ તેમજ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ (ગુજરાત) રસિકભાઈ પ્રજાપતિ તેમજ ભાજપના બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગરના પ્રમુખ ગૌરંગભાઇ પ્રજાપતિ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભનું ઉદ્ઘાટન કાંતિભાઈ ડી.પ્રજાપતિ, ગાંધીનગર એ કરેલું જ્યારે ભોજનદાતા તરીકે રાહુલભાઈ ડી.પ્રજાપતિ હતા. દીપ પ્રાગટ્ય બાદ પ્રમુખ યતીનભાઈ કે. પ્રજાપતિએ સૌનું ભાવપૂર્વક સ્વાગત કરી સમારંભની સફળતા માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મંચસ્થ મહાનુભાવો નું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું . જ્યારે મંડળની પ્રવૃત્તિ વિશેનો સવિસ્તાર અહેવાલ મહામંત્રી ડૉ.જગદીશચંદ્ર જી. પ્રજાપતિએ આપ્યો હતો. આ કાર્યક્મ માં કન્વીનર દિપકભાઈ જી. દલવાડી તથા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ ની ટીમની સક્રિય અને સફળ કામગીરીની નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રસ્ટીઓ,હોદ્દેદારો, મહિલા સમિતિ વગેરેનો સાથ સહકાર માંડ્યો હતો. આમ, આ પ્રસંગ સર્વાંગી સફળતા સાથે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત 7000 જેટલા જ્ઞાતિજનોએ સમૂહમાં સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ માણી સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:31 pm

સુરેન્દ્રનગરના 225 ગામોને મળશે શુદ્ધ પીવાનું પાણી:ફૂલગ્રામમાં ₹100 કરોડના પ્લાન્ટની ધારાસભ્યએ સમીક્ષા કરી

વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે આશરે ₹100 કરોડના ખર્ચે તૈયાર થયેલા 90 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ અને 2 કરોડ લિટરની ક્ષમતા ધરાવતા સંપની વઢવાણના ધારાસભ્ય તથા સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રોજેક્ટની કામગીરીની અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 225 ગામોમાં પાણી વિતરણની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. આધુનિક ટેકનોલોજી અને વિશાળ સંગ્રહ ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ જિલ્લાના અનેક ગામોની પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ધોળી ધજા ડેમથી ફિલ્ટર પ્લાન્ટ સુધી પાઇપલાઇન દ્વારા પાણી લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાનું શક્ય બનશે, જે જનહિતમાં એક અગત્યનું પગલું છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:14 pm

પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ:પ્રભારી મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને ગોધરામાં 2026-27ના કામોની સમીક્ષા

પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને ગોધરા કલેક્ટર કચેરી ખાતે વર્ષ 2026-27 માટેની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકની કાર્યવાહી જિલ્લા આયોજન મંડળના સભ્ય સચિવ અને જિલ્લા આયોજન અધિકારી દ્વારા એજન્ડા મુજબ શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં 15% વિવેકાધીન (તાલુકા અને નગરપાલિકા કક્ષા) તથા બક્ષીપંચ જોગવાઈ હેઠળના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજૂ થયેલા વિકાસ કામોને સરકારી માર્ગદર્શિકા મુજબ મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ, ATVT જોગવાઈના વર્ષ 2022-23 થી 2025-26 સુધીના કામો અને MPLADs અંતર્ગત વર્ષ 2019-20 થી 2023-24 સુધીના શરૂ ન થયેલા કે પ્રગતિ હેઠળના કામોની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. સંબંધિત અમલીકરણ અધિકારીઓને ગત વર્ષના બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા અને નિયત સમયમર્યાદામાં ખર્ચ ચૂકવવા સૂચના અપાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પ્રભારી મંત્રી રમેશ કટારાનું સ્વાગત કર્યું હતું. તેમણે જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને આવકાર્યા હતા. આ બેઠકમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્યો સી.કે. રાઉલજી, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, પ્રાંત અધિકારીઓ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા ચીફ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા આયોજન મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:12 pm

સદનસીબે મોટી દુર્ઘટના ટળી:રાજકોટનાં નવા કોર્ટ બિલ્ડિંગનાં પાંચમા માળે એસી બ્લાસ્ટ થતા આગ ભભૂકી, ફાયર વિભાગની ટીમ દ્વારા કાબુ મેળવાયો

રાજકોટના જામનગર રોડ પરના નવા કોર્ટ બિલ્ડિંગમાં આજે સાંજના સમયે આગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના કોર્ટ બિલ્ડિંગના 5માં માળે એમ. ડી. જાદવની કોર્ટ ચેમ્બરમાં બની હતી. પ્રાથમિક વિગતો મુજબ, ચેમ્બરમાં લાગેલા એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ કોર્ટ રૂમમાં હાજર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તાત્કાલિક અસરથી કોર્ટ રૂમ ખાલી કરવામાં આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતા કોર્ટના સ્ટાફ દ્વારા ફાયર એક્સટિંગ્યુશરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવી આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા મિનિટોમાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેસકોર્સ રિંગરોડ પર વિશાળ હોર્ડિંગ ધરાશાયી, વાહન અથડાયાની આશંકાએ તપાસ શરૂ રાજકોટના રાજમાર્ગ ગણાતા રેસકોર્સ રિંગ રોડ ઉપર આજે વહેલી સવારે 4:30 વાગ્યે એક વિશાળ હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.સદનસીબે, આ દુર્ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા એસ્ટેટ શાખાના મેનેજર મેહુલ ગાંધીએ સ્થળ મુલાકાત લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. તંત્ર દ્વારા જીએસટી ભવન પાસેના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે મેઈલ કરવામાં આવ્યો છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય. એસ્ટેટ મેનેજર મેહુલ ગાંધીએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજ્ઞાત વાહન અથડાવાથી આ હોર્ડિંગ પડ્યું હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા હવે માર્ચ એન્ડિંગ પહેલા શહેરના તમામ હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘટનામાં અંદાજે રૂ. 50,000 કરતા વધુનું નુકસાન થયું હોવાની શક્યતા છે. જોકે, લોકોમાં તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો, પરંતુ અધિકારીઓએ ખાતરી આપી છે કે સુરક્ષાના તમામ માપદંડો ચકાસવામાં આવશે. હોળીમાં રાજકોટ એસટી વિભાગને એક્સ્ટ્રા 144 ટ્રિપ થકી રૂ.18.06 લાખની આવક.. હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન 144 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેમાં 5853 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના થકી એસટી વિભાગને રૂ.18,06,548 ની આવક થઈ છે. રાજકોટ એસટી વિભાગમાં જસદણ ડેપો દ્વારા સૌથી વધુ 46 ટ્રિપ દોડાવવામાં આવી હતી. જ્યારે રાજકોટ ડેપો દ્વારા 34, ગોંડલમાં 32, વાંકાનેરમાં 12, ધાંગધ્રામાં 10, મોરબીમાં 6 અને ચોટીલા ડેપો દ્વારા 4 એક્સ્ટ્રા ટ્રિપ દોડાવવામાં આવી હતી. ઉમેદવારોના હિતમાં સૌ. યુનિ.નો મોટો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટી સાથેની પરીક્ષાની તારીખ ટકરાતા શિડ્યુલ બદલાયું રાજ્યની બે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોન-ટીચિંગ સ્ટાફની ભરતી માટે લેવાનારી પરીક્ષાની તારીખો એક જ દિવસે એટલે કે 15 માર્ચ 2026 ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ અણધાર્યા સંજોગોને કારણે હજારો ઉમેદવારો ભારે ધર્મસંકટમાં મુકાયા હતા. સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ માટે બંને યુનિવર્સિટીમાં ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓ માટે એક જ દિવસે રાજકોટ અને અમદાવાદ પહોંચીને પરીક્ષા આપવી અશક્ય હતી. આના કારણે ઉમેદવારોની લાંબા સમયની મહેનત નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ સેલ દ્વારા પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા હવે પરીક્ષા-A ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 15-03-2026 ના રોજ આયોજિત આ પરીક્ષા હવે 16-03-2026 (સોમવાર) ના રોજ બપોરે 11.00 થી 12.30 કલાક દરમિયાન યોજવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયથી હજારો ઉમેદવારોને મોટી રાહત મળી છે અને તેઓ હવે બંને પ્રતિષ્ઠિત સંસ્થાની પરીક્ષામાં કોઈ પણ અડચણ વગર ભાગ લઈ શકશે. 11 માર્ચે રાજકોટ મનપાની વર્તમાન બોડીની અંતિમ ખાસ સામાન્ય સભા, 12 દરખાસ્તો પર થશે નિર્ણય રાજકોટ: રાજકોટ મહાપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદ્દત આગામી તા. 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ટર્મ પૂરી થવાના એક દિવસ અગાઉ, એટલે કે તા. 10ના મંગળવારે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને એક ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. આ અંતિમ બોર્ડ માટે 12 દરખાસ્તોનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલી દરખાસ્તોને બહાલી આપવામાં આવશે. આ ખાસ સભામાં જમીન વેચાણ, નવા પગારધોરણ, કોમ્યુનિટી હોલ બુકિંગની નવી નીતિ, વેરામાં વ્યાજમાફી અને વોર્ડ નં. 11ની 11 દુકાનોની હરાજી જેવી મહત્વની બાબતો સામેલ છે. આ ઉપરાંત, રેલનગર વિસ્તારના વિવિધ ચોકોનું નામકરણ કરવાની દરખાસ્તો પણ મંજૂર કરવામાં આવશે. માનવ અધિકાર આયોગની સૂચના મુજબ ઠક્કરબાપા, તોપખાના અને કસ્તુરબા હરીજનવાસ જેવા વિસ્તારોના નામ બદલવા નિર્ણય પણ લેવાશે. નોંધનીય છે કે આ ખાસ સભા હોવાથી તેમાં પ્રશ્નોત્તરીકાળ રાખવામાં આવ્યો નથી. રાજકોટનાં કોઠારીયા રોડ પરના નવનિર્મિત વિનોદભાઇ શેઠ હોલના ભાડાના નવા દર મંજૂર રાજકોટ મહાપાલિકા દ્વારા કોઠારીયા રોડ પર આવેલા વર્ષો જૂના શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું સંપૂર્ણ આધુનિકરણ કર્યા બાદ, ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તેના નવા ભાડા અને ડિપોઝીટના દર મંજૂર કરવામાં આવ્યા છે. આ હોલ હવે સેન્ટ્રલી એ.સી. સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ, આ હોલનો વિસ્તાર અભય ભારદ્વાજ હોલ કરતા નાનો હોવાથી તેનું ભાડું પ્રમાણમાં ઓછું રાખવામાં આવ્યું છે. નવા માળખા મુજબ, પ્રથમ માળે આવેલા નોન એ.સી. યુનિટમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગો માટે રૂ. 5000 તથા બેસણા માટે રૂ. 1000 ભાડું નક્કી કરાયું છે. જ્યારે બીજા માળે આવેલા એ.સી. હોલ માટે લગ્ન પ્રસંગે રૂ. 10,000 અને બેસણા માટે રૂ. 2000 ભાડું રહેશે. કોમર્શિયલ હેતુ માટે નોન એ.સી.ના રૂ. 8000 અને એ.સી. હોલના રૂ. 15,000 નિયત કરવામાં આવ્યા છે. આ હોલમાં પ્રથમ વખત ત્રીજા માળે 2 એ.સી. અને 4 નોન એ.સી. રૂમની સુવિધા પણ આપવામાં આવી છે, જે રાખનારને યુનિટ દીઠ 3 રૂમ વિનામૂલ્યે મળશે. આ સુવિધાથી વોર્ડ નં. 14, 16, 17 અને 18ના રહીશોને મોટો લાભ થશે. નવાગામ-આણંદપરમાં કલેકટર તંત્રની લાલ આંખ, 50 દબાણકારોને નોટીસ, 3000 ચોરસ વાર જમીન ખુલ્લી થશે રાજકોટ જિલ્લામાં સરકારી અને ગૌચરની જમીનો પરના અનઅધિકૃત દબાણો હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. નવાગામ આણંદપર ખાતે વર્ષોથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા 50 જેટલા દબાણકારોને વહીવટી તંત્ર દ્વારા આખરી નોટીસ ફટકારવામાં આવી છે. અહીં અંદાજે 2500 થી 3000 ચોરસવાર જમીન પર ગેરકાયદેસર મકાનો - વસાહતો ખડકાઈ ગઈ છે, જેને દૂર કરવા માટે હવે ડીમોલીશનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. મામલતદાર તંત્ર દ્વારા અગાઉ જરૂરી હિયરીંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ હવે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટેનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. સંભવતઃ આવતીકાલે જ આ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. કલેકટર તંત્રની કડક કાર્યવાહીને પગલે દબાણકારોમાં ફફડાટ ફેંક્યો છે. સરકારી જમીન ખાલસા કરાવીને જાહેર હિતમાં તેનો ઉપયોગ કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું માનવામાં આવે છે. રાજકોટ મનપા ચૂંટણીમાં નવા 1 લાખ મતદારો, 300 બૂથનો વધારો થવાની શક્યતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન બોડીની મુદત આગામી તા. 11ના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે ચૂંટણીલક્ષી તૈયારીઓ કરવામાં આવી રહી છે. મનપાના વિસ્તારોમાં થયેલા વધારા અને 18 વર્ષની વય પૂર્ણ કરનાર યુવાનોને કારણે આ વખતે શહેરના અંદાજે 12 લાખ મતદારોમાં નવા 1 લાખ મતદારોનો ઉમેરો થવાની સંભાવના છે. આ જનસંખ્યા વધારાને પહોંચી વળવા માટે ગત ચૂંટણીના 850 બૂથની સંખ્યામાં પણ 300 જેટલા નવા બૂથ વધારીને કુલ 1150થી વધુ બૂથ બનાવવાનું આયોજન છે. કલેક્ટર તંત્ર દ્વારા તા. 11ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે. મનપા દ્વારા હાલ વોર્ડ કક્ષાએ સીમારેખા પર આવતી સોસાયટીઓ અને વિસ્તારોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. નવા ભળેલા ગ્રામ પંચાયતના વિસ્તારોને કારણે વોર્ડની જનસંખ્યામાં મોટો ફેરફાર નોંધાયો છે. તંત્ર દ્વારા હાલ મતદાન મથકો માટે શાળાઓ અને સરકારી ઇમારતોની યાદી તૈયાર કરી ચૂંટણીનો ફાઇનલ પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. રાજકોટમાં સોમવારે બે સ્થળે સેવાસેતુ કેમ્પ યોજાશે, લોકોને સરકારી યોજનાઓનાં સ્થળ પર લાભ મળશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના 11માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ હેઠળ આગામી તા.9ના રોજ સવારે 9 કલાકે બે સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ (1) વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા રોડ અને (2) પ્રાણનાથજી પ્રાથમિક શાળા નં.85, ઉદયનગર, મવડી ખાતે યોજાશે. નગરજનોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.આ કેમ્પમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે આધાર નોંધણી, મોબાઈલ નંબર સુધારા અને બાળકોના આધાર કાર્ડની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત મિલ્કત વેરા, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, આવાસ યોજના, રેશન કાર્ડ, ગંગા સ્વરૂપા વિધવા સહાય, પેન્શન અને વીમા યોજના જેવી વિવિધ સરકારી સેવાઓનો લાભ સ્થળ પર જ મેળવી શકાશે. વધુમાં, નવા વીજ જોડાણની અરજી અને બસ કન્સેશન પાસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:11 pm

13 વર્ષ જૂના ચોરી કેસનો આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગર SOGએ થાનગઢથી ફરાર આરોપી યોગેશ પિત્રોડાને પકડ્યો

સુરેન્દ્રનગર SOGએ 13 વર્ષ જૂના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને થાનગઢથી ઝડપી પાડ્યો છે. આરોપી યોગેશભાઈ ભરતભાઈ પિત્રોડા વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં શરીર સંબંધિત, મિલકત સંબંધિત અને અન્ય ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, SOG સ્ટાફના PSI આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, થાનગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 69/2013, IPC કલમ 379, 120B હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશભાઈ ભરતભાઈ પિત્રોડા હાલ થાનગઢ ચોટીલા રોડ પરના એચ.પી. પેટ્રોલ પંપ પાસે હાજર હતો. બાતમીના આધારે તપાસ કરતા, વર્ણન મુજબના શારીરિક દેખાવ (પટ્ટાવાળું ટી-શર્ટ) ધરાવતો આરોપી મળી આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ યોગેશભાઈ ભરતભાઈ પિત્રોડા, ઉંમર 45 વર્ષ, ધંધો દલાલી, રહે. સર્વોદય સોસાયટી, થાનગઢ, જિ. સુરેન્દ્રનગર જણાવ્યું હતું. SOG દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI બી.એચ. શિંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, HC અનિરુદ્ધસિંહ અભેસંગભાઈ ખેર, PC અનિરુદ્ધસિંહ ભરતસિંહ, PC કુલદીપસિંહ સામંતસિંહ ગોહિલ, PC મીતભાઈ દિલીપભાઈ મુંજપરા અને PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:11 pm

રાણપુર ડબલ મર્ડર કેસ:આરોપીને આજીવન કેદની સજા, સચોટ તપાસ બદલ PI જે.વી. ચૌધરીને પ્રશંસાપત્ર એનાયત

બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2021માં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં તટસ્થ અને મજબૂત તપાસ કરનાર તત્કાલીન પી.આઈ. જે.વી. ચૌધરીને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં આરોપીએ બે વ્યક્તિઓની નિર્મમ હત્યા કરી હતી. તે સમયે રાણપુર ખાતે ફરજ બજાવતા પી.આઈ. જે.વી. ચૌધરીએ કેસની તપાસ સંભાળી હતી. તેમણે પુરાવાઓનું બારીકાઈથી એકત્રીકરણ કરી, કાયદાકીય પાસાઓને મજબૂત બનાવતી તટસ્થ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા સચોટ પુરાવા અને ચાર્જશીટના આધારે કોર્ટે આ ડબલ મર્ડર કેસના આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 1,00,000 (એક લાખ) નો દંડ ફટકાર્યો છે. હાલ જામનગર પોલીસમાં પી.આઈ. તરીકે કાર્યરત જે.વી. ચૌધરીની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા તેમને ખાસ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું. એસ.પી.એ જણાવ્યું કે, પી.આઈ. ચૌધરીની નિષ્ઠા અને સખત પરિશ્રમને કારણે જ ભોગ બનનાર પરિવારને ન્યાય મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:10 pm

જગદીશ મકવાણાએ ₹5.50 કરોડના રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું:વેળાવદર-સરલા અને બાળા-કોઠારીયા માર્ગોનું નવીનીકરણ કરાશે

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ કરવાના ભાગરૂપે વિકાસ કાર્યોને વેગ અપાઈ રહ્યો છે. નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે વેળાવદર અને બાળા ગામ ખાતે કુલ રૂ. 5.50 કરોડના ખર્ચે માર્ગોના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં વેળાવદર-સરલા અને બાળા-કોઠારીયા રોડનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વઢવાણ વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ માર્ગોના નવીનીકરણથી પંથકના પરિવહન પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવશે. તેમણે બાળા-અણિન્દ્રા રોડના નવીનીકરણ માટે રૂ. 2.50 કરોડની વહીવટી મંજૂરી મળ્યાની પણ જાહેરાત કરી હતી, જેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. પાણી પુરવઠાની સુવિધાઓ અંગે વિગતો આપતા મકવાણાએ જણાવ્યું હતું કે, વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે 2 કરોડ લીટરની ક્ષમતાનો વિશાળ પાણીનો સંપ અને 90 એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરાયો છે. અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે ધોળીજા ડેમથી ફૂલગ્રામ સુધી પાઈપલાઈન દ્વારા પાણી લાવીને 225 જેટલા ગામડાઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, વર્તમાન સરકાર ખેડૂતો, ગરીબો અને વંચિતોના ઉત્થાન માટે કાર્યરત છે. આયુષ્માન કાર્ડ હેઠળ હવે રૂ. 10 લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ છે. ખેડૂતોને ટ્રેક્ટર, તાળપત્રી અને વિવિધ કૃષિ સાધનો પર સબસિડી તેમજ સિંચાઈ માટે નર્મદાના નીરની વ્યવસ્થા કરીને સરકાર કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે. મકવાણાએ વિકાસના કામોમાં જનતાના સાથ-સહકારને પાયાનો ગણાવ્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે ગામના બજાર અને શેરીઓના નાના-મોટા પ્રશ્નોને પણ પ્રાથમિકતા આપીને તબક્કાવાર રીતે ઉકેલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:08 pm

વડનગરમાં પરિણીતાનો આપઘાત:'તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી' તેમ કહી માનસિક ત્રાસ આપતાં, પતિ અને જેઠ વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ

મહેસાણા જિલ્લાના વડનગરની તુલસીપાર્ક સોસાયટીમાં રહેતી એક 21 વર્ષીય પરિણીતાએ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતક પરિણીતાના પિતાએ વડનગર પોલીસ મથકમાં પોતાના જમાઈ અને જેઠ વિરુદ્ધ માનસિક-શારીરિક ત્રાસ અને દહેજની માંગણી કરી મરવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. 'તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી' તેમ કહી માનસિક ત્રાસ આપતાંમૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રહેવાસી ચંદ્રપાલસિંગ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દીકરી ખુશીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ રાઘવ બંટી દાઉજી સાથે થયા હતાં. લગ્ન બાદ ખુશી તેના પતિ, જેઠ અજય ઉર્ફે હોન્ડા અને સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યા બાદ પતિ અને જેઠ દ્વારા અવારનવાર ઘરકામ બાબતે મેણા-ટોણા મારી 'તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી' તેમ કહી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પતિ અને જેઠે જાનથી મારી નાખવાની ધમકી આપી વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી પતિ બંટી નવી ગાડી લેવા માટે પિયરથી 5 લાખ રૂપિયા લઈ આવવા દબાણ કરતો હતો. આ દરમિયાન રોજગારી અર્થે આ પરિવાર વડનગરની તુલસીપાર્ક સોસાયટીમાં સ્થાયી થયો હતો. જ્યાં પણ ખુશી પરનો ત્રાસ યથાવત રહ્યો હતો. ગત રક્ષાબંધન અને દિવાળી સમયે જ્યારે ખુશી પિયર ગઈ ત્યારે તેણે પિતાને પોતાની આપવીતી જણાવી હતી કે પતિ અને જેઠ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક ઈજાઓ પહોંચાડે છે. જોકે એક વર્ષના માસૂમ દીકરા વંશનું ભવિષ્ય ન બગડે તે હેતુથી પિતા તેને સમજાવીને સાસરીમાં પરત મોકલતા હતા. પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યોગત 3 જાન્યુઆરી 2026ના રોજ ખુશીએ વડનગર સ્થિત મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તે સમયે પિતા રાજકોટ મજૂરી કામ અર્થે ગયા હતા. જ્યાં જમાઈએ ફોન કરી દીકરીના મોતની જાણ કરી હતી. અંતિમ વિધિ અને શોકનો માહોલ હોવાથી તે સમયે પોલીસ ફરિયાદ થઈ શકી નહોતી. પતિ અને જેઠ વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલપરંતુ દીકરીને મરવા માટે મજબૂર કરનાર પતિ રાઘવ બંટી દાઉજી અને જેઠ રાઘવ અજય ઉર્ફે હોન્ડા વિરુદ્ધ કડક તપાસ થાય તે માટે પિતાએ અંતે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. વડનગર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:56 pm

Editor's View: ઈસ્લામિક દેશોનો અસલી દુશ્મન કોણ?:હવે આ ઈરાનનો નવો ધણી? સવા શેર સૂંઠ મોસાદે ખાધી કે ઈરાને? યુદ્ધના કત્લેઆમની વિનાશક વાતો

વિશ્વમાં સૌથી વધુ મુસ્લીમ બહુમતિવાળો વિસ્તાર છે મીડલ ઈસ્ટ જેને આપણે પર્શિયન દેશો પણ કહીએ છીએ. હાલ ત્યાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આરબ દેશોનું માનવું છે કે તેમનું દુશ્મન પશ્ચિમ એટલે કે અમેરિકા અને યુરોપ વગેરેની સંસ્કૃતિ છે. પણ શું તમને ખબર છે કે ઈસ્લામિક દેશોનો અસલી દુશ્મન બહાર નહીં પણ અંદર જ છે? મુસ્લીમભાઈઓના લોહીના સૌથી વધુ ડાઘ તેમના દુશ્મન પશ્ચિમના કપડા પર નહીં પણ પોતાના જ ભાઈઓના લૂગડેં લાગેલા છે. ઈરાન-ઈરાક યુદ્ધના 10 લાખ શબ હોય કે સિરિયા, યમન અને સુદાનમાં યુદ્ધની રાખ... આ બહારના આક્રમણો નહીં પણ અંદરની જ સત્તા લાલસા, આતંકવાદ અને સાંપ્રદાયિક ઝેરનું પરિણામ છે. ઈતિહાસ સાક્ષી છે કે મિડલ ઈસ્ટમાં પશ્ચિમી દુશ્મનના હથિયારો કરતા પોતાના જ અવિશ્વાસે કત્લેઆમ મચાવ્યો છે… ત્યારે ઈઝરાયેલ એમાનાં જ એક ઈસ્લામિક દેશ ઈરાન પર હુમલો કર્યો છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ છે અને ઈરાન પાસે તેમના ધાર્મિક રિવોલ્યુશનરી ગાર્ડની આર્મી છે. કોણ કેટલું બળવાન છે? આજે આપણે તેની પણ વાત કરીશું. અને સમજીશું કે હવે ઈરાનની ધુરા કોણ સંભાળી શકે? નમસ્કાર... આપણે 20મી અને 21મી સદીનો ઈતિહાસ જોઈએ તો ખબર પડે છે કે મિડલ ઈસ્ટ અને ઈસ્લામિક રાષ્ટ્રોનો ઈતિહાસ હંમેશા જીઓગ્રાફિકલ અને પોલિટિકલ ઉથલપાથલનો સાક્ષી રહ્યો છે. પશ્ચિમને દોષ, પણ હકીકત જુદી આ જ વાતને વધુ સારી રીતે સમજીએ તો વર્લ્ડ લેવલે અવારનવાર અમેરિકા અને યુરોપ જેવા પશ્ચિમી દેશોને ઈસ્લામિક દેશોમાં તેમના અંદરના ડખામાં ડબકા ડોળનાર તરીકે જોવામાં આવ્યો છે. પણ જાનહાનીના આંકડાઓ જોઈએ તો ચિત્ર કંઈક અલગ જ નજરે પડી રહ્યું છે. પશ્ચિમે આરબ દેશોમાં લાખોના જીવ લીધા પણ તેમના પોતાના જ ઈસ્લામિક ભાઈઓએ કરોડ મુસ્લીમ ભાઈઓના જીવ લઈ લીધા છે. આંતર-મુસ્લિમ યુદ્ધોના ભયાનક ભણકારા ઈરાન-ઈરાક અને બાંગ્લાદેશ-પાકિસ્તાનના આંતર મુસ્લીમ યુદ્ધોમાં અંદાજે 33 લાખથી વધુ મુસ્લીમ ભાઈઓના જીવ ગયા. સુદાન, સીરિયા, યમન અને સોમાલિયા જેવા ઉદાહરણોમાં આંતરિક નાગરિક યુદ્ધોમાં અંદાજે 30 લાખથી વધુના જીવ ગયા. બોકો હરામ, તાલિબાન અને ISIS જેવા આંતવાદના કારણે મીડલ ઈસ્ટમાં અઢી લાખથી વધુના જીવ ગયા અને 2003ના ઈરાક યુદ્ધ અને 2001ના અફઘાનિસ્તાન યુદ્ધમાં પશ્ચિમના કારણે 10 લાખ જેટલા મુસ્લીમ ભાઈઓના જીવ ગયા છે. 1971 બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં લાખો મુસ્લીમોના મૃત્યુ થયા હતા અને લાખો બાંગ્લાદેશી બહેનો પર ગેંગ રેપ થયા હતા. બાંગ્લાદેશ એશિયામાં છે પણ વાત અહીં ધાર્મિક દેશોની છે માટે આ ગંભીર માહિતીની પણ વાત કરવી પડે. સામેની બાજુ અફઘાનિસ્તાન વોરમાં પણ મુજાહિદ્દીન જૂથો વચ્ચે સત્તાની લડાઈમાં 4 લાખથી વધુ મોત થયા છે. પશ્ચિમ કરતા અંદરના યુદ્ધોમાં વધુ મોત આ આંકડા કહે છે કે પશ્ચિમી હસ્તક્ષેપના કારણે જેટલા મોત થયા છે તેના કરતા અનેકગણા વધુ મૃત્યુ ઈસ્લામિક કન્ટ્રીઝના અંદરોઅંદરના ઝઘડાના કારણે થયા છે. 1980-88ના એકલા ઈરાન-ઈરાક યુદ્ધમાં જ SIPRI અને UCDP મુજબ 10-12 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આતંકવાદના સૌથી વધુ પીડિત મુસ્લિમો જ NCTC અને ગ્લોબલ ટેરેરિઝમ ડેટાના આંકડાઓ કહે છે કે આતંકવાદ અને કટ્ટરવાદના સૌથી વધુ પીડિતો પશ્ચિમ દેશો નહીં પણ મુસ્લીમો જ વધુ બન્યા છે. નેશનલ કાઉન્ટર ટેરિરિઝમ સેન્ટર મુજબ 2004થી 2011 વચ્ચે દુનિયાભરમાં આતંકવાદના 82-90 ટકા પીડિતો મુસ્લીમો જ હોય છે. કટ્ટરપંથીઓનો નિર્દોષ નાગરિકો પર કહેર ISIS, તાલિબાન અને બોકો હરામ આતંકવાદી જૂથોએ સીરિયા, ઈરાક, અફઘાનિસ્તાન અને નાઈજીરિયામાં લાખો મુસ્લીમોની હત્યા કરી છે. 1979થી 2024 વચ્ચે થયેલા આતંકવાદી હુમલાઓમાં 91 ટકા મોત મુસ્લીમ બહુમતીવાળા દેશોમાં જ થયા છે. ગ્લોબલ ટેરેરિઝમ ડેટા બેઝ મુજબ મુજબ તાલિબાને 71,965 અને ISIS એ 69,641 થી વધુ લોકોની હત્યા કરી છે, જેમાંથી મોટાભાગના નિર્દોષ મુસ્લિમ નાગરિકો હતા. આપણે ભારત છીએ અને આપણી સંસ્કૃતિમાં માણસાઈનો ગુણ પહેલા શીખવવામાં આવ્યો છે. એ મુજબ પશ્ચિમ હોય કે ઈસ્લામિક નેશન્સ... માણસોના જીવ જઈ રહ્યા છે, જે ન જ થવું જોઈએ. મિડલ ઈસ્ટની માથાકૂટ શિયા-સુન્ની વિવાદ જાણીને નવાઈ લાગશે પણ મીડલ ઈસ્ટની અસ્થિરતાના મૂળમાં શિયા અને સુન્ની મુસ્લીમ સમુદાયોના મતભેદો અને અંદરોઅંદરની જમીનો માટેની લડાઈ જવાબદાર છે. ખાસ કરીને ઈરાનની 1979ની ઈરાની ઈસ્લામિક ક્રાંતિ પછી ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે જે કોલ્ડવોર ચાલી રહ્યું છે... પૂરી દુનિયા તેની સાક્ષી છે. સીરિયન સિવિલ વોરનું વિનાશક પરિણામ UN અને SOHRના આંકડાઓ મુજબ 2011થી 2024 વચ્ચે થયેલી સીરિયન સિવિલ વોરમાં 5-6 લાખથી વધુ લોકોના મોત થયા છે. આ યુદ્ધ અંદરોઅંદરનું હતું પણ ઈરાન અને ગલ્ફ દેશોએ પોતાના સ્વાર્થ માટે તેને પ્રોક્સી ગ્રાઉન્ડ બનાવી દીધું. યમનમાં પ્રોક્સી યુદ્ધ અને માનવ સંકટ યમનની ધરતી પર 2014થી આજની તારીખે સંઘર્ષો ચાલી રહ્યા છે. કંઈ લેવા દેવા ન હોવા છતાં સાઉદી અને ઈરાનના સત્તા યુદ્ધના કારણે UNDPના ડેટા મુજ યમનમાં પોણા ચાર લાખ લોકોનો જીવ ગયો છે. સાઉદી-ઈરાન સત્તા યુદ્ધના કારણે યમનમાં ભૂખમરો અને બીમારીમાં જેટલા લોકો મર્યા તે હથિયારોની ગોળીથી મરનારથી વધુ છે. સુદાનના વિખવાદે લાખોએ દેશ છોડ્યો યમનની જેમ જ સુદાનમાં પણ 2023થી આજની તારીખ સુધી સિવિલ વૉર જેવો માહોલ છે. SAF અને RSF સંગઠનોની સત્તાની લાલચના કારણે લાખો લોકોએ સુદાનમાંથી બીજા દેશમાં વસી જવું પસંદ કર્યું છે. UCDP અને UN મુજબ સુદાનના ઇતિહાસમાં આંતરિક વિખવાદોએ અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે. આ બંને પણ મુસ્લીમ લડવૈયાઓ જ છે. ઈરાની સેનાની મોસાદ સામે કોઈ વિસાત નહીં પણ ઈઝરાયલ અને પશ્ચિમે પણ આરબ જગતમાં તરખાટ મચાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. આજે ઈરાન સામે ચાલી રહેલા ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધને જ ગણી લો. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC અને ઈઝરાયલની મોસાદ વચ્ચે ખુલ્લેઆમ લડાઈ ચાલુ છે. ધ્યાનથી સમજીએ તો અહીં ટેક્નોલોજીકલ ગેપ મોટો નજરે પડે છે. ઈઝરાયલની હબસોરા અને લેવેન્ડર સિસ્ટમ ઈઝરાયલના જાસૂસી સંગઠન મોસાદે માથું કાપવાની જગ્યાએ AI અને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. હબસોરા અને લેવેન્ડર જેવી AI સિસ્ટમથી ઈઝરાયલે હજારો ટાર્ગેટ્સ સુધી ઝીણવટથી હુમલો કર્યો છે. મોસાદના AIથી બોમ્બ ધડાકા 2024માં હમાસ નેતા ઈસ્લમાઈલ હનીયેહની હત્યા તહેરાનના અતિ સુરક્ષિત ગેસ્ટ હાઉસમાં થઈ હતી. જાણીને નવાઈ લાગશે કે તેના માટે મોસાદે બે મહિના પહેલા જ ત્યાં AI વાળો બોમ્બ ગોઠવ્યો હતો અને ઈરાનના ન્યુક્લિયર સાઈન્ટિસ્ટ મોહસેન ફખરીઝાદેહને પતાવી દીધો હતો. જેના માટે એક એવી એઆઈવાળી મશીનગન બનાવાઈ હતી કે મોહસેનને ફેસથી ઓળખી લેવાય અને તેને જ ગોળી વાગે. આનાથી સાબિત થાય છે કે ઈરાનની સિક્યોરિટી સિસ્ટમમાં મોસાદની ઘૂસણખોરી કેટલી ઉંડી છે. હિઝબુલ્લાહની વોકીટોકીમાં ભડાકા સપ્ટેમ્બર 2024માં લેબનોનમાં જે હિઝબુલ્લાહના પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ થયા હતા તેણે તો ડિજિટલ વોરની તસવીર જ બદલી નાખી. મોસાદે ફીટ કરેલા વોકીટોકી અને પેજરમાં બ્લાસ્ટ થવાના કારણે 3 હજારથી વધુ હિઝબુલ્લાહ કમાન્ડોને જાનહાની થઈ હતી અને ડઝનેક મર્યા હતા. સપ્લાય ચેઈનમાં ઘૂસીને હજારો ડિવાઈસમાં વિસ્ફોટકો ગોઠવાયા જે સાબિત કરે છે કે ઈરાન અને તેના આતંકી સંગઠન હિઝબુલ્લા હવે ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરતા પણ ડરે છે. મોસાદે ઈરાનના ન્યુક્લિયર સિક્રેટ ચોર્યા 2018માં 20થી વધુ મોસાદ એજન્ટ્સે તેહરાનના એક વેરહાઉસમાં ઘૂસણખોરી કરી હતી અને ઈરાનના 0.5 ટનના ન્યુક્લિયર દસ્તાવેજો ચોરવા 6 કલાક તિજોરીમાં વિતાવ્યા હતા. મોસાદે ઈરાનનું ઈન્ટરનેટ ઠપ્પ કરી દીધું જ્યારે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આખા ઈરાનની ઈન્ટરનેટ કનેક્ટિવિટી 4 ટકા જેટલી ડાઉન કરી દેવામાં આવી હતી. જેના કારણે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કમાન્ડ એન્ટ કન્ટ્રોલ પૂરી રીતે ડાઉન થઈ ગયું હતું. મોસાદની તાકાત AI અને સાયબર ટેક. 28 ફેબ્રુઆરી 2026એ જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા અને ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામૈનીની અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના ટોચ કમાન્ડોઝની હત્યા કરી એ અમેરિકાના જાસૂસી સંગઠન CIA અને ઈઝરાયલના જાસૂસી સંગઠન મોસાદની કોર સ્ટ્રેન્થ છે. ઈઝરાયલે ઈરાનનું આર્થિક ગળું દબાવ્યું ઈરાન પરના પ્રતિબંધો અને સાયબર હુમલાઓએ પ્રોક્સી જૂથોને મળતું ફંડ ઘટાડી દીધું છે. જો કે હમાસ અને હિઝબુલ્લાહ હજુ પણ ક્રિપ્ટો કરન્સી અને સ્મગલિંગથી રૂપિયા ભેગા કરી રહ્યા છે તેવી માહિતીઓ સમાચારોમાં આવી રહી છે. પણ ઈરાનને મળતા રૂપિયા ખૂબ જ ઓછા થયા છે તે આંકડાઓ પરથી ખબર પડે છે. ઈઝરાયલનું મોસાદ ઈરાનને ધૂળ ચટાવશે? ઈરાનની સિસ્ટમમાં રહેલી નબળાઈઓ અંગે ખુદ ઈરાનના પૂર્વ કમાન્ડર હુસૈન અલાઈએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે ઈરાનની ઈન્ટેલિજન્સ એજન્સીઓ મોસાદ સામે લડવા માટે પૂરતી નથી. હવે ઈરાનનો ધણી કોણ? તો ખામૈનીના ખાત્મા બાદ 1 માર્ચે પર્મેનેન્ટ લીડર સિલેક્ટ ન થાય ત્યાં સુધીમાં એસેમ્બ્લી ઓફ એક્સપર્ટ્સ બનાવવામાં આવી છે.હાલ ઈરાનના રાષ્ટ્રપતિ પદે મસૂદ પેઝેશ્કિયન, ચીફ જસ્ટિસ્ટ પદે ગુલામ-હુસેન મોહસેની-એજે'ઈ ફરજ બજાવી રહ્યા છે. સવાલ ઉઠે કે ધણી વગરના ઈરાનની ધુરા હવે કોણ સંભાળશે? ઈરાની સત્તા માટે ખેંચતાણ ખામૈની બાદ નવી સત્તા સામેના પડકારો આ બધા વચ્ચેના ડખા વચ્ચે ઈઝરાયલ તેનો ભરમાર ફાયદો ઉઠાવી રહ્યું છે. આ નેતાઓ પર પરમાણુ કાર્યક્રમ ચલાવી રાખવાનો, પ્રોક્સી વોરને ગાયડન્સ આપવાનું અને ઈકોનોમીને સ્ટેબલ કરવાની જવાબદારી છે. બીજું કે અલી ખામૈનીના નિધન અને IRGCના મેઈન કમાન્ડરોની હત્યા બાદ, હિઝબુલ્લાહ અને હમાસના નેતાઓ વેઈટિંગ મોડમાં છે. તેઓ નક્કી કરી શકતા નથી કે ઈરાનમાં નવી સત્તા કોણ સંભાળશે અને તેમને કેવી સૂચનાઓ મળશે. ઈસ્લામિક દેશોનો ડખો ઈઝરાયલને ફળ્યો હવે ત્રીજા સૌથી મહત્વના મુદ્દાની વાત કરીએ. ઈઝરાયલને કયા આરબ દેશો છૂપી રીતે મદદ કરી રહ્યા છે. જવાબ છે, સાઉદી અરેબિયા, યુનાઈટેડ અરબ અમિરાત, બહેરીન અને જોર્ડન જેવા દેશે. પણ આ બધા ઈરાનનો અસલી ખરતો નથી. સૌથી મોટો ખતરો તો તેમની વિસ્તારવાદી નીતિ છે. આરબ દેશોની ઈઝરાયલને છૂપી મદદ? મુસ્લિમ દેશો યહુદી ઈઝરાયલને બચાવ્યું હમણા જ થોડા દિવસો પહેલા ઈરાને ઈઝરાયલ પર ડ્રોન્સ અને મિસાઈલ્સનો મારો ચલાવ્યો હતો. ત્યારે જોર્ડને 49 ઈરાની ડ્રોન અને 13 મિસાઈલ્સ તોડી પાડી હતી જે ઈઝરાયલ બાજુ જઈ રહી હતી. એક મુસ્લીમ દેશ બીજા મુસ્લીમ દેશથી યહૂદી દેશને બચાવે આ કોઈ અલગ જ જીઓકલ્ચરલ ઘટના છે. ઈરાન સામે લડવા સાઉદી-UAEની મદદ સાઉદી અને UAE હવે ઈઝરાયલ સાથે ખાલી ડિપ્લોમેટિક જ નહીં પણ ઈન્ટેલિજન્સ શેરિંગ કરીને પણ ઈઝરાયલની મદદ કરી રહ્યા છે. ક્રિસ્ટલ બોલ નામનું એક પ્લેટફોર્મ છે જેના માધ્યમે રિયલટાઈમ ડેટા ઈઝરાયલને શેર કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી છે. આરબમાં આર્થિક અને સામાજિક ક્રાંતિ આરબમાં હવે આતંકવાદથી આગળ વધીને એક મૌન ક્રાંતિ આવી રહી છે. સાઉદી અરેબિયાનું વિઝન 2030. બીજી બાજું UAE પહેલા ધાર્મિક એકતાના સૂત્રો પર આગળ વધતું હતું પણ હવે તેમના સૂત્રોમાં ઈકોનોમી, ટેક્નોલોજી, ડેવલોપમેન્ટ નામના શબ્દો સંભળાય છે. આરબ નેતાઓ સમજી ગયા છે કે ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓ સામે રક્ષણ મેળવવા ઈઝરાયલી આયર્ન ડોમ અને એરો સિસ્ટમ ખૂબ જરૂરી છે. જેના માટે વિજ્ઞાનમાં ધ્યાન દેવું પડશે. અરબ બેરોમીટરના સર્વે મુજબ 84 ટકા આરબ જનતા માને છે કે તેમના દેશોમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો પ્રોબ્લમ છે. 60 ટકા લોકો આર્થિક પ્રશ્નોને બહારના ખતરા કરતા વધુ મહત્વ આપે છે. માટે જ આરબ દેશો હવે પશ્ચિમની ઉદારવાદી વિચારધારા બાજુ વળી રહ્યા છે. અને છેલ્લે... અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી છે કે ઈરાન મારા વગર સુપ્રીમ લીડર પસંદ ન કરે. તેમણે ચેતવણી આપી હતી કે જો નવા નેતા જૂના નેતૃત્વની નીતિઓ ચાલુ રાખશે, તો આગામી વર્ષોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજો સંઘર્ષ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એવો નેતા ઇચ્છે છે જે ઈરાનમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે. તો શું દુનિયાને ફરી નવા યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:55 pm

ફેસબુક ફ્રેન્ડે પોલીસ તરીકે ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી:અમિતસીંગ ચૌહાણએ લગ્નની લાલચ આપી વારંવાર યુવતીના ઘરે જઇ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ દાખલ

સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવી બાદમાં પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની અનેક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. આવી વધુ જ એક ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે જેમાં 8 મહિના પહેલા ફેસબુક પર મિત્રતા કેળવી શખસે પોલીસ તરીકે ઓળખ આપી બાદમાં અવારનવાર યુવતીના ઘરે શરીર સબંધ બાંધી લગ્નની લાલચ આપી હતી. જોકે, યુવતીએ લગ્ન કરવાનું કહેતા શખસે સબંધ તોડી દઈ સંપર્ક તોડી દેતા આખરે યુવતીએ પ્રધ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમિતસિંગે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતીએ એક્સેપટ કરીરાજકોટ શહેરમાં રહી નોકરી કરતી ભોગ બનનાર પરપ્રાંતિય 34 વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે બીજા રાજ્યની વતની છે અને હાલ રાજકોટમાં રહી નોકરી કરે છે. પોતે સોશિયલ મીડિયા ફેસબૂકનો ઉપયોગ કરે છે અને 8 મહિના પહેલા ફેસબૂક સર્ચ કરી રહી હતી, ત્યારે એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણના નામની હતી. યુવતીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપટ કરી હતી. આરોપીએ પોલીસકર્મી અને અપરિણીત હોવાનું યુવતીને કહ્યું હતુંઅમિતસિંગે પોતે પોલીસ કર્મચારી છે તેવી ઓળખ આપી હતી. આ પછી બંને વચ્ચે મેસેજથી વાતચીત શરૂ થઇ હતી. અમિતસિંગે પોતે અપરિણીત છે અને તેણીને ખુબ પસંદ કરે છે, પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે તેવી વાતો કરી ભોગ બનનાર યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી અમિતસિંગે લગ્નનું વચન આપી યુવતિના ઘરે આવ જા ચાલુ કરી હતી અને તેણી સાથે શરીર સંબંધ બંધવનું ચાલુ કર્યું હતું. યુવતીએ શરૂઆતમાં ઇન્કાર કરતાં આપણે લગ્ન કરી જ લેવાના છે એવી વાત કરી હતી આથી તેના પર તેણીએ વિશ્વાસ કર્યો હતો. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે સંપર્ક તોડી નાખ્યો હતોઆમ મે મહિનાથી શરૂ કરી ફેબ્રુઆરી સુધી અવાર નવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં. પરંતુ હવે યુવતીએ લગ્ન કરી લેવાનું કહેતાં તેણે ના પાડી દીધી હતી. જેથી આ યુવકનો સંપર્ક કરતા કોઈ સંપર્ક ન થતા યુવતીએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર યુવતીને આ શખસે પોતે રાજકોટનો વતની છે હોવાનું અને રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતો હોવાનું કહેતા ખરેખર આ શખસ પોલીસ છે કે કેમ અને રાજકોટનો રહેવાસી છે કે કેમ સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:48 pm

વી.બી નાંદોલા બી.એડ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓની કુલપતિને રજૂઆત:ભાચાની શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજનું NCTEનું પ્રમાણપત્ર બોગસ નીકળતા 300 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં; કુલપતિને ઉગ્ર રજૂઆત.

જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવતી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામે કાર્યરત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજમાં શિક્ષણ જગતને લાંછન લગાડતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ કોલેજે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ના નકલી દસ્તાવેજો અને ખોટા સહી-સિક્કા ઊભા કરીને વર્ષો સુધી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ ગંભીર મામલો સામે આવતા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદનપત્ર પાઠવીને પોતાની ડિગ્રી અને ભવિષ્ય બચાવવા માટે આક્રમક રજૂઆતો કરી હતી. ​આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ, શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજના સંચાલકો અને તત્કાલીન પ્રિન્સિપાલે સાથે મળીને વર્ષ 2023માં એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. NCTE, દિલ્હી દ્વારા આ કોલેજને બી.એડ.નો અભ્યાસક્રમ ચલાવવા માટે કોઈ જ કાયદેસરની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં, આરોપીઓએ NCTEના રીજીયોનલ ડાયરેક્ટર ડૉ. મિતુ ભારતીની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરી એક બનાવટી માન્યતા પત્ર તૈયાર કર્યો હતો. આ બોગસ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોલેજને 100 વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરી મળી છે. આ નકલી દસ્તાવેજોને સાચા તરીકે ખપાવીને યુનિવર્સિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે યુનિવર્સિટીની સેન્ટ્રલ એડમિશન કમિટીએ નિર્દોષ વિદ્યાર્થીઓને આ કોલેજમાં પ્રવેશ ફાળવી દીધો હતો. ​ભૂતપૂર્વ વિદ્યાર્થી જયેશ ગોહિલે આ અંગે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેણે વર્ષ 2024-2025માં શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી, પરંતુ હવે જાણવા મળ્યું છે કે આ કોલેજનું પ્રમાણપત્ર જ અમાન્ય છે. જો NCTEની માન્યતા જ ન હોય તો આ ડિગ્રી સરકારી નોકરી કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં કામ લાગશે નહીં. આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ આ બોગસ માન્યતા હેઠળ અહીં અભ્યાસ કર્યો છે, જે તમામનું ભવિષ્ય અત્યારે અંધકારમય જણાઈ રહ્યું છે. અન્ય એક વિદ્યાર્થીની રાધિકા સીમડીયાએ પણ આક્ષેપ કર્યો હતો કે કોલેજે રજૂ કરેલા દસ્તાવેજો તદ્દન બોગસ છે અને યુનિવર્સિટી દ્વારા અમને એડમિશન અપાયું હોવાથી આમાં વિદ્યાર્થીઓનો કોઈ જ વાંક નથી. આથી યુનિવર્સિટીએ વહેલી તકે આ મામલે યોગ્ય નિરાકરણ લાવીને અમારી ડિગ્રીને માન્યતા અપાવવી જોઈએ. ​આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે માહિતી અધિકાર (RTI) હેઠળ આ કોલેજની માન્યતાની વિગતો માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે જે પત્રના આધારે શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજ ધમધમતી હતી, તેવો કોઈ પત્ર NCTE દ્વારા ક્યારેય ઇશ્યૂ જ થયો ન હતો. એટલું જ નહીં, જ્યારે યુનિવર્સિટીએ આ બાબતે વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી ત્યારે આરોપીઓએ અન્ય અજાણ્યા શખ્સોની મદદ લઈને NCTEના નામે વેરિફિકેશનનો પણ ખોટો વળતો જવાબ મોકલીને સત્તાધીશોને ગેરમાર્ગે દોર્યા હતા. આ રીતે સતત બે વર્ષ સુધી છેતરપિંડી આચરીને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષો સાથે ગંભીર ચેડાં કરવામાં આવ્યા હતા. ​ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે આ બાબતે કડક વલણ અખત્યાર કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જૂન 2025માં તેમની નિયુક્તિ બાદ જ્યારે આ ગેરરીતિઓ ધ્યાન પર આવી, ત્યારે તેમણે તુરંત તપાસના આદેશ આપ્યા હતા. શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજ સહિતની ત્રણ કોલેજો પાસે કાયદેસરની માન્યતા ન હોવાનું સાબિત થતા આ વર્ષથી તેમની એડમિશન પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશચંદ્ર પરમાર દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કોલેજના સંચાલકો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિધિવત ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે આ કૌભાંડમાં સામેલ અન્ય વચેટિયાઓ અને મદદગારોની શોધખોળ કરી રહી છે. ​વિદ્યાર્થીઓના હિત અંગે વાત કરતા કુલપતિએ જણાવ્યું હતું કે વર્ષ 2023-24 અને 2024-25ના જે વિદ્યાર્થીઓ હાલ શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજના ચોથા સેમેસ્ટરમાં છે, તેમને અન્ય માન્યતા પ્રાપ્ત કોલેજોમાં ખાલી જગ્યાઓ પર ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેથી તેમનો અભ્યાસ અધૂરો ન રહે. જોકે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ચૂક્યા છે તેમની ડિગ્રીના પ્રશ્ન માટે યુનિવર્સિટી અત્યારે સરકાર અને NCTE સાથે સતત સંપર્કમાં છે. યુનિવર્સિટી દ્વારા જૂના વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે, જેથી NCTEના ચેરમેન સાથે વિચાર-વિમર્શ કરીને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય અપાવી શકાય. હાલમાં તો આ મસમોટા કૌભાંડને કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ દસ્તાવેજી પુરાવાઓના આધારે કાયદાકીય ગાળિયો કસી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:47 pm

બહેનના ઘરેથી જમીને પરત ફરતા નડ્યો અકસ્માત:કતારગામ રેલવે ઓવરબ્રિજ ઉતરતા રિક્ષા પલટી, એક યુવાનનું કરુણ મોત; બનેવી અને પિતરાઈ ભાઈ ઇજાગ્રસ્ત

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જી.આઈ.ડી.સી.થી સરસ્વતી સર્કલ તરફ જતા રેલવે ઓવરબ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલી રિક્ષા પલટી જતાં તેમાં સવાર એક યુવકનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. બહેનના ઘરે બે પિતરાઈ ભાઈ આવ્યા હતામળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કતારગામની ગીતાનગરમાં રહેતા અને વ્યવસાયે રિક્ષા ચાલક શાંતિલાલ તેરસુ બિંદ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ ઘટના ધુળેટીના દિવસે બની હતી. બપોરના સમયે લસકાણા ડાયમંડ નગર ખાતે રહેતા શાંતિલાલના સાળા શંભુકુમાર રાધેશ્યામ બિંદ અને વિશાલકુમાર મનોજકુમાર બિંદ તેમના ઘરે જમવા આવ્યા હતા. સાંજના આશરે છ વાગ્યાની આસપાસ તેઓ શાંતિલાલની રિક્ષા (GJ-05-CZ-4061) લઈને નીકળ્યા હતા. રિક્ષા વિશાલકુમાર ચલાવી રહ્યો હતો, જ્યારે શાંતિલાલ અને શંભુકુમાર પાછળની સીટ પર બેઠા હતા. ગફલતભરી રીતે હંકારતા રિક્ષા પરનું નિયંત્રણ ગુમાવ્યુંકતારગામ જી.આઈ.ડી.સી.થી સરસ્વતી સર્કલ તરફ જતા રેલવે ઓવરબ્રિજ ઉતરતી વખતે રિક્ષા ચાલક વિશાલકુમારે રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા રિક્ષા પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં શંભુકુમાર રાધેશ્યામ બિંદને માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. રિક્ષા ચલાવનાર પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈફરિયાદ કરનાર શાંતિલાલને બંને હાથની કોણી અને પગના ઘૂંટણના ભાગે સામાન્ય ઈજાઓ થઈ છે. આ મામલે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિશાલકુમાર મનોજકુમાર બિંદ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:42 pm

જૈન દેરાસર અને અંબા માતાના મંદિરમાં ચોરી કરનાર શખ્સ ઝડ્પાયો:બે વોન્ટેડ, વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે જરોદમાંથી પકડ્યો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે મંદિરોમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીએ ભણીયારા ગામના જૈન દેરાસર તથા વાઘોડીયા GIDCમાં આવેલ અંબા માતાના મંદિરમાંથી ચોરી કરી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ આરોપી ઝડપાયો, પૂછપરછ કરતા ગુનાના ભેદ ઉકેલાયાવડોદરા ગ્રામ્ય એલસીબી ટીમને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીની શોધખોળ દરમ્યાન એલસીબી ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત માહિતી મળતાં જરોદ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ મામલે શંકાસ્પદ આરોપીને ઝડપી પૂછપરછ કરતા આ ગુન્હાના ભેદ ઉકેલાયા હતા. જૈન દેરાસરમાં ચોરી કરી'ત, 32 હજારનો મુદ્દામાલ મળ્યોઆ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી કલ્પેશભાઈ બદીયાભાઈ ભાભોર (મૂળ રહે. ચિલાકોટા, તા. લીમખેડા, જિ. દાહોદ; હાલ રહે. હરીહર હાર્મોની સોસાયટી, વાઘોડીયા, જિ. વડોદરા)છે. તેની પાસેથી જૈન દેરાસરમાંથી ચોરેલા પંચધાતુના બે મુગટ, એલ્યુમિનિયમની પેટી, મોતીની માળાઓ, કડલા, રોકડા રૂ. 8,500 તથા એક મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ. 32,175નો મુદ્દામાલ મળી આવ્યો છે. બે સાગરિત સાથે ચોરીને અંજામપૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, આજથી આશરે 20 દિવસ પહેલાં તેના સાગરીતો અજીત છગનભાઈ ભાભોર તથા ઇસ્માઇલ ઉર્ફે નીલેશ મંડોર સાથે મળીને ભણીયારા ગામના જૈન દેરાસરમાંથી ચોરી કરી હતી. આરોપીએ મંદિરને પણ ના છોડ્યુંઆ ઉપરાંત દસેક દિવસ પહેલાં તે જ ટોળકીએ વાઘોડીયા GIDCના અંબા માતાના મંદિરમાંથી સોનાનું મંગળસૂત્ર, ચાંદીના છત્તર તથા અન્ય આભૂષણોની ચોરી કરી હતી, જે અજીત ભાભોર વેચવા લઈ ગયો હતો. આ કાર્યવાહી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:41 pm

પાલનપુર કલેક્ટર કચેરીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:લાડલી ગિફ્ટ યોજના હેઠળ 10 દીકરીઓને રૂ. 25,000ની FD અર્પણ કરાઈ

પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 6 માર્ચ, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત દસ શ્રેષ્ઠ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. દરેક દીકરીને રૂ. 25,000ની પ્રોત્સાહક ફિક્સ ડિપોઝિટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવો, દીકરી જન્મના વધામણા કરીએ સંદેશ સાથે મહિલા સશક્તિકરણ અને દીકરીઓના સન્માનના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. કલેક્ટરના હસ્તે યાના પટેલ, રાધિકા પટેલ, નિક્ષા બારોટ, પિન્ટુબેન અને સંજના ઐઠોરાને તેમની સિદ્ધિઓ બદલ તેજસ્વી સન્માન એનાયત કરાયું હતું. આ ઉપક્રમ મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર પ્રેરિત હતો. પાલનપુર ખાતે દર વર્ષે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ યોજના હેઠળ પાંચ કે તેથી વધુ દીકરીઓને રૂ. 25,000ની ફિક્સ ડિપોઝિટ આપવામાં આવે છે. વર્ષ 2012થી શરૂ કરાયેલી આ યોજનાને મુંબઈ સ્થિત ડૉ. વિકમભાઈ એમ. મહેતા મિત્રવર્તુળ-પરિવાર તરફથી છેલ્લા 15 વર્ષથી સતત સહયોગ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 86 જરૂરિયાતમંદ દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની એકથી પાંચ વર્ષની એવી દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેઓ ત્યજી દેવાયેલી હોય, દત્તક લેવાયેલી હોય, અથવા જેના માતા-પિતા ગંભીર બીમારીથી પીડાતા હોય, અશક્ત કે દિવ્યાંગ હોય, અથવા જેમનું આકસ્મિક અવસાન થયું હોય. મુંબઈ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. દીકરીઓના નામે મુકવામાં આવતી રૂ. 25,000ની ફિક્સ ડિપોઝિટ રકમ 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવે છે. આ રકમનો ઉપયોગ માત્ર ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ અથવા આરોગ્ય સંબંધિત જરૂરિયાતો માટે જ કરવાની શરત સાથે યોજનાનો લાભ અપાય છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે વિવિધ વિકાસકાર્યો અમલમાં મૂકે છે, ત્યારે સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી સંસ્થાઓને પ્રોત્સાહન અને સહયોગ આપવામાં આવે છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષોથી મહિલા કલા-નિધિ ટ્રસ્ટ દ્વારા અહીં કાર્યક્રમો યોજાતા રહ્યા છે, જે સંસ્થાની વિશ્વસનીયતા અને સમાજમાં કરેલી સાર્થક કામગીરીનું પ્રતિબિંબ છે. સંસ્થા બાળાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે અને દીકરીઓના નામે મુકાયેલી ડિપોઝિટ પર મળતા વ્યાજથી રકમ વધતી જાય છે, જેના કારણે અનેક દીકરીઓને ભણતર અને જીવનમાં આગળ વધવાની તક મળી છે. આજે એવી જ એક બહેન મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરીને નર્સિંગ ક્ષેત્રે સેવા આપી રહી છે, જે સંસ્થાના પ્રયત્નોની સફળતા દર્શાવે છે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે સંસ્થાનું લક્ષ્ય 101 બાળાઓ માટે ડિપોઝિટ કરવાની યોજના પૂર્ણ કરવાનો છે, જેમાં પાંચ બાળાઓ માટે દાતાઓની જરૂર છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ કાર્ય પૂર્ણ કરવા પૂરતો સહયોગ આપવામાં આવશે. આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમણે બનાસકાંઠા જિલ્લાના તમામ મહિલાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને બનાસકાંઠાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્યરત બહેનોને શુભેચ્છાઓ આપી. તેમણે જણાવ્યું કે મહિલા દિવસના આ અવસરે પુણેમાંથી પધારેલા એક પ્રોફેસરશ્રીએ માત્ર 3.5 મહિનાની દીકરીને દત્તક લઈને તેના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. અંતમાં તેમણે તમામ બહેનોને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:29 pm

'213 કરોડના કચરા કૌભાંડથી સ્વચ્છ સુરતનું માસ્ક ઉતર્યું!':પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ- ખજોદ સાઇટ પર 50% કચરો હજુ અનપ્રોસેસ્ડ, ત્રણ વર્ષથી સ્વચ્છતા એવોર્ડ કેમ મળે છે?

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરે રહેતું સુરત અત્યારે એક મોટા નાણાકીય અને વહીવટી કૌભાંડના આક્ષેપોથી ઘેરાયું છે. સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરાના નિકાલ માટે નિષ્ફળ ગયેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાના બદલે વધુ 10 મહિનાનો સમય વધારો આપવાની દરખાસ્ત લાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ આ મામલે ગંભીર સવાલો ઉઠાવતા તેને '213 કરોડનું કચરા કૌભાંડ' ગણાવ્યું છે. તંત્ર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાને બદલે છાવરી રહ્યું હોવાના આક્ષેપસુરત શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર જમા થયેલા વર્ષો જૂના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે અંદાજે 213 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કરાર મુજબ ઇજારદારે 3 વર્ષના સમયગાળામાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવાનો હતો. જોકે, આક્ષેપ છે કે નિર્ધારિત સમય પૂરો થવા આવ્યો હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કરવામાં આવ્યો છે એટલે કે હજુ પણ 50%થી વધુ કચરો સાઇટ પર જમા છે છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાને બદલે તેમને છાવરવામાં આવી રહ્યા છે. એવોર્ડ મેળવવા માટે પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ખોટા આંકડા રજૂ કરવામાં આવે છે?વિજય પાનશેરીયાએ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “જો ખજોદ સાઇટ પર 50% કચરો હજુ પણ નિકાલ થયા વગરનો પડ્યો હોય તો સુરતને છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્વચ્છતા એવોર્ડ કેવી રીતે મળી રહ્યા છે? આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, એવોર્ડ મેળવવા માટે પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ખોટા આંકડા રજૂ કરવામાં આવે છે. આ શહેરના નાગરિકો સાથે છેતરપિંડી છે.” નિયમ મુજબ એજન્સી કામમાં નિષ્ફળ જાય તો બ્લેકલિસ્ટ કરવી જોઈએસૌથી વધુ વિવાદ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહેલા 10 મહિનાના એક્સટેન્શનને લઈને છે. નિયમ મુજબ જો કોઈ એજન્સી કામમાં નિષ્ફળ જાય તો તેને બ્લેકલિસ્ટ કરી તેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને નવી એજન્સીને કામ સોંપવું જોઈએ પરંતુ, સ્ટેન્ડિંગ કમિટીમાં જૂની એજન્સીને જ ચાલુ રાખવાની દરખાસ્ત આવતા એવી શંકા સેવાઈ રહી છે કે, ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. કાગળ પર કચરો 'પ્રોસેસ' થઈ ગયો હોવાનું બતાવી શકાયતાજેતરમાં જ ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જે 21 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહી હતી. આ આગને લઈને પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિજય પાનસેરિયાના આક્ષેપ છે કે, કચરાનો નિકાલ કર્યા વગર જ પૈસા ઓળવી લેવાયા છે અને હવે જથ્થામાં થયેલી ગેરરીતિ છુપાવવા માટે જાણીજોઈને આગ લગાવવામાં આવી છે, જેથી કાગળ પર કચરો 'પ્રોસેસ' થઈ ગયો હોવાનું બતાવી શકાય. ઈજારદાર દ્વારા ફક્ત 50% જ કચરાનો નિકાલ કરવામાં આવ્યો પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આજ રોજ સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે. ખજોદ ખાતે જે કચરાનો નિકાલ કરવાનો છે એ માટેની જે 10 મહિના માટે કોન્ટ્રાક્ટ વધારવાની દરખાસ્ત છે. હવે જે કોન્ટ્રાક્ટર છે એમને સુરત શહેરનું આખા ભારતમાં જો નામ ખરાબ કર્યું હોય તો એ આ કોન્ટ્રાક્ટરે કર્યું છે એને જ્યારે કોન્ટ્રાક્ટ 2022માં આપવામાં આવ્યો ત્યારથી લઈને ત્રણ વર્ષમાં એને 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો પરંતુ, તમે આજની દરખાસ્તમાં જોશો તો સુરત મહાનગરપાલિકા સ્વીકારે છે કે આ ઈજારદાર દ્વારા ફક્ત 50% જ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, બાકીનો કચરો એઝ ઈટ ઈઝ ત્યાં જ ડમ્પિંગ સાઈટ પર છે. સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં એવોર્ડ કઈ રીતે મળ્યો?તો છેલ્લા આ મુખ્ય પ્રશ્નના આધારે એ સવાલ પેદા થાય છે કે, તો છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં એવોર્ડ કઈ રીતે મળ્યો? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો 100 એ 100 ટકા સાયન્ટિફિક વે નિકાલ કરવો ફરજિયાત છે. તો આપ જોશો કે 50% જ કચરાનો નિકાલ કર્યો હોય તો આ બાકીનો કચરો એઝ ઈટ ઈઝ છે, તો આ ખોટા માહિતી ખોટા આંકડા કોણે મોકલ્યા? કોની જવાબદારી છે? કોન્ટ્રાક્ટરની કે અધિકારીની? આ રીતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકારને ખોટા આંકડા મોકલનાર કોણ? આ તમામ પ્રશ્નો ઉદભવે છે. જેને લીધે એ માંગ કરી હતી કે, આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે-સાથે આમાં જે પણ અધિકારીઓ જવાબદાર છે એમની સામે પગલાં લેવામાં આવે. અત્યારે એવું દેખાય છે કે ભાજપ શાસકો અને અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરને બચાવતા હોય એવું લાગે છે. પાંચમા પ્રયાસે પણ કોઈ ટેન્ડરર રસ બતાવતા નથીસ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, હાલ ખજોદમાં જે ડિસ્પોઝલ સાઈટની કામગીરી ચાલી રહેલી છે, તેમાં પાંચમા પ્રયાસે પણ કોઈ ટેન્ડરર રસ બતાવતા નથી. જેને કારણે હાલના ટેન્ડરરને જ્યાં સુધી નવું ટેન્ડર નહીં મળે ત્યાં સુધી એક્સ્ટેન્શન કરવાનું મંજૂર કરીએ છીએ. વધુમાં, જો બે મહિના સુધીમાં આ કોન્ટ્રાક્ટરની કામગીરી યોગ્ય નહીં લાગે, તો ટેક્નો-લીગલ અભિપ્રાય લઈને કોન્ટ્રાક્ટર પર ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ગઈ છે. એક્સ્ટેન્શન હમણાં 11 મહિના માટે છે પણ બે મહિનામાં તેમણે કામગીરી બતાવવાની રહેશે. જો બે મહિનામાં તેમની કામગીરી યોગ્ય નહીં જણાય, તો કાયદેસરની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ દ્વારા તબક્કાવાર જેમ તેમણે કામગીરી કરી છે તે રીતના પેમેન્ટની દરખાસ્ત કરી છે, પણ તેમને જે પણ પેનલ્ટી કરી છે તેનું પહેલા ચુકવણું કોર્પોરેશનને કર્યા બાદ જ બાકીની કામગીરી તબક્કાવાર ચુકવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:20 pm

ઉખરલા-નાનાખોખરા રોડ પર વરતેજ પોલીસનો દરોડો:ડુંગર વિસ્તારમાંથી 2800 લીટર આથો અને 240 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો, બે શખસો ફરાર

ભાવનગર નજીક ઉખરલા-નાનાખોખરા રોડ પર આવેલા ડુંગર વિસ્તારમાં ધગતી ભઠ્ઠીમાં વરતેજ પોલીસે દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ સહિત કુલ રૂ.1.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે દરોડો પાડતા પહેલા જ બે શખસો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જ્યારે પોલીસે આ અંગે બન્ને શખશો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. 2800 લીટર આથો અને 240 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યોઆ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વરતેજ પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અનુસંધાને પેટ્રોલિંગમાં હતો, ત્યારે મળેલી બાતમીના આધારે ભાવનગર નજીક ઉખરલાથી નાનાખોખરા રોડ ઉપર આવેલા અવેડાની પાછળના ડુંગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પર તપાસ દરમિયાન પોલીસને દેશી દારૂ બનાવવાનો 2800 લીટર ગરમ તથા ઠંડો આથો કિ.રૂ.70,000, 240 લીટર દેશી દારૂ કિ.રૂ.48,000, 12 પ્લાસ્ટિકના ટીપણા કિ.રૂ.1,200 અને ‘Punjab Fresh Bakers Yeast’ લખેલા 500 ગ્રામના 20 પેકેટ કિ.રૂ.1,480 સહિત કુલ કિ.રૂ.1,20,680 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને શખસો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યોઆ મુદ્દામાલ નાનાખોખરા ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નાનભા ગોહિલ અને સિદ્ધરાજસિંહ મેઘુભા ગોહિલની કબજાવાળી ડુંગરાળ જગ્યામાંથી મળ્યો હતો, જોકે બંને શખસો પોલીસ પહોંચતા પહેલા નાસી છૂટ્યા હતા. વરતેજ પોલીસે બંને શખસો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:15 pm

સુરેન્દ્રનગરમાં ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટમાં આગ:આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાયા, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલા 'ઘર હોતો ઐસા' નજીકના ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ખુલ્લા પ્લોટમાં રહેલા કચરામાં ધીમે ધીમે આગ પ્રસરવા લાગી હતી, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આગની જાણ થતાં ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે મિની ફાયર ટેન્ડર અને ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 7:08 pm

ધોરણ 10 બેઝિક ગણિતમાં 20197 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી:ધોરણ 12 સમાજશાસ્ત્રમાં 9980 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ યોજાઈ હતી. ધોરણ 10ના બેઝિક ગણિત વિષયમાં કુલ 20,996 વિદ્યાર્થીઓમાંથી 20,197 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 799 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં 19,487 ગુજરાતી માધ્યમના, 710 અંગ્રેજી માધ્યમના અને 154 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ 10 સંસ્કૃત પ્રથમા વિજ્ઞાન વિષયમાં 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર વિષયમાં કુલ 10,140 વિદ્યાર્થીઓમાંથી 9,980 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 160 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આ ઉપરાંત, ધોરણ 12ના અંગ્રેજી વિષયમાં 11 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી (દ્વિતીય ભાષા) વિષયમાં કુલ 2,430 વિદ્યાર્થીઓ પૈકી 2,418 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જ્યારે 12 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:50 pm

હિંમતનગરમાં મહિલાઓ માટે રમતગમત સ્પર્ધા:8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, અસ્મિતા લીગનું આયોજન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં 8 માર્ચના રોજ અસ્મિતા લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના યુવાકાર્ય અને રમત-ગમત મંત્રાલયના નિર્દેશથી આ સ્પર્ધાઓ હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોજાશે. ભારતીય ખેલ સત્તામંડળ (SAI) અને મેરા યુવા ભારત - ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાઓ 8 માર્ચના રોજ સવારે સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે શરૂ થશે. આ લીગ મેચો ત્રણ વયજૂથમાં વિભાજિત કરવામાં આવી છે: અન્ડર-13, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી ઉપરની યુવતીઓ. દરેક વર્ગમાં 100, 200 અને 400 મીટરની દોડ સ્પર્ધાઓ યોજાશે. મહિલા ખેલાડીઓમાં ઉત્સાહ વધારવા માટે રસ્સાખેંચ જેવી મનોરંજક હરીફાઈઓ પણ યોજવામાં આવશે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતી બહેનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. આ કાર્યક્રમમાં 500 થી વધુ મહિલાઓ ભાગ લે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સ્પર્ધાના દિવસે સવારે 7 કલાકે સ્થળ પર રૂબરૂ નોંધણી કરાવી શકાશે. ઇનામ વિતરણ હિંમતનગરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં થશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:48 pm

14 માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત:ટ્રાફિક ઇ-ચલણના કેસોમાં કોઈ સમાધાન કે ડિસ્કાઉન્ટ થતું નથી, દંડ ભરતા માત્ર આગળની કોર્ટ કાર્યવાહીથી બચી શકાય છે

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, સુપ્રીમકોર્ટ અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના વડપણ હેઠળ અમદાવાદ જિલ્લાની અને સમગ્ર ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં 14 માર્ચ, 2026 રોજ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થનાર છે. પક્ષકારો તેમની તકરારોનું નિવારણ કાયમી લાવી શકે છેઆ લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે રહેલી અલગ અલગ સ્વરુપની તકરારો જેવી કે વાહન અકસ્માત, વળતરના કેસો, દિવાની તકરારો, ચેક રીટર્ન અંગેની ફરીયાદો, જેમાં માત્ર દંડની જ શિક્ષા થાય છે તે પ્રકારના કેસો, લેન્ડ એકવીઝીશનને લગતી તકરારો, બેંકના લેણાના કેસો, કૌટુબિંક અને પારીવારીક તકરારના કેસો, લગ્ન વિષયક કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, ઇલેક્ટ્રીક સિટી બીલના કેસો વગેરે કે જે તકરારો લોક-અદાલતમાં સમાધાન પાત્ર છે. તેવા તમામ કેસોનું લોક-અદાલતમાં તકરાર નિવારણના વૈકલ્પીક માધ્યમ તરીકે ઉપયોગ કરી, પક્ષકારો તેમની તકરારોનું નિવારણ કાયમી સ્વરુપે લાવી શકે છે. ઇ ચલણના કેસોમાં દંડ ભરવા માટેની વ્યવસ્થાવધુમાં ટ્રાફીક ઇ ચલણના કેસોમાં પણ દંડની રકમ ભરવા માટેની વ્યવસ્થા પણ જિલ્લા અદાલત ખાતે દર લોક અદાલતની જેમ કરવામાં આવેલ છે. જેથી ટ્રાફીક ઇ ચલણના કેસોનો પણ ઝડપી નિકાલ થાય અને લોકોને સરળ સુવિધાનો લાભ મળે. વધુમાં જાહેર જનતાને ખાસ અપીલ કરવાની કે ઘણા બધા સોશીયલ મીડિયામાં અથવા તો બીજા પ્રચારના માધ્યમ દ્રારા આ ટ્રાફિક ઇ ચલણના કેસોમાં લોક અદાલતમાં ડીસ્કાઉન્ટ કે કન્શેશન કરી આપવામાં આવે છે, તે તદ્દન ખોટી હકીકત છે. ડીસ્કાઉન્ટ કે કન્શેસન કે દંડ માફી આપવામાં આવતી નથીકોઇ પણ સક્ષમ કાનુની સત્તા મંડળ દ્રારા આવું કોઇ ડીસ્કાઉન્ટ કે કન્શેસન કે દંડ માફી આપવામાં આવતી નથી.પરંતુ લોક અદાલત દ્રારા આવા ઇ ચલણ ભરવામાં આવે તો કોર્ટમા કેસ જતા પહેલા તેનો નિકાલ થાય છે અને પક્ષકારોને કોર્ટ કાર્યવાહીમાંથી રાહત મળે છે. લોક અદાલત દ્રારા આવા ટ્રાફિક ઇ ચલણના કેસોનો નિકાલ થાય છે. ઈ ચલણનો દંડ ભરી પોતાની જવાબદારીમાંથી મુકિત મેળવી શકેઅમદાવાદ જિલ્લાની જાહેર જનતાને આવનારી લોક અદાલતમાં ટ્રાફિક ઈ ચલણના કેસોમાં દંડ ભરી પોતાની જવાબદારીમાંથી મુકિત મેળવી શકે છે. લોક અદાલત દ્વારા લાંબા સમયથી ચાલતા કેસોનો ઝડપથી નિકાલ થઈ શકે છે, જેના કારણે કોર્ટમાં કેસોની સંખ્યા ઘટે છે અને લોકોને વહેલી તકે ન્યાય મળે છે. આ માટે જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીનો સંપર્ક કરવાનો રહે છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:47 pm

પાટણ-હારીજ હાઇવે પર લોડિંગ રિક્ષા પલટી, એકનું મોત:ખાનપુર નજીક રિક્ષાનો જોઈન્ટ તૂટતા દુર્ઘટના, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

પાટણ-હારીજ હાઇવે પર ખાનપુર ગામ નજીક શુક્રવારે એક લોડિંગ રિક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચંદ્રમાણા ગામના એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ રિક્ષાનો જોઈન્ટ અચાનક તૂટી ગયો હતો. જેના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા જોરદાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર હનુજી રાઠોડ (રહે. ચંદ્રમાણા, પાટણ) નામના વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. રિક્ષામાં સવાર અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે પાટણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતક હનુજી રાઠોડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:46 pm

અઢી વર્ષમાં 6500 કરોડના કામો મંજૂર:વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની વર્તમાન બોર્ડની અંતિમ બેઠકમાં 57 કામોને મંજૂરી

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળી હતી. આ બેઠકમાં એજન્ડા ઉપર મુકાયેલા 55 અને બે વધારાના મળી કુલ 57 કામો ઉપર ચર્ચા કરવાં આવી હતી. જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. અંતિમ સ્થાયી સમિતિની બેઠકમાં 60 કરોડના કામો મુકાયામહાનગરપાલિકાની અંતિમ સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 60 કરોડના કામો મૂકવાં આવ્યા હતા. જેમાં વરસાદી ગટરના 9.43 કરોડ, રોડના 9.03 કરોડના કામો સહિતના વિવિધ વિભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ફ્યુચરિસ્ટિક સેલના 6.34 કરોડના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં જ સ્થાયી સમિતિની બેઠકમાં 150 કરોડના કામો મૂકવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવામાં આવી છે. અઢી વર્ષમાં 6500 કરોડના કામોને મંજૂરીસ્થાયી સમિતિની વર્તમાન બોડીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. વર્તમાન ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિની પ્રથમ બેઠક 11 સપ્ટેમ્બર, 2023માં મળી હતી. ત્યારબાદ અંતિમ બેઠક આજરોજ મળી હતી. અઢી વર્ષના આ સમયગાળામાં 6500 કરોડથી વઘુના કામોને મંજૂરી આપવામાં આવી છે. 9 માર્ચ વર્તમાન બોર્ડનો અંતિમ દિવસમહાનગરપાલિકાના વર્તમના બોર્ડની અવધિ પૂર્ણ થવા જઈ રહી છે. 10 માર્ચ 2021 ના રોજ પ્રથમ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેના પાંચ વર્ષ 9 માર્ચે પૂર્ણ થશે. 9 માર્ચ 2026 ના રોજ અંતિમ દિવસ બાદ કોર્પોરેશનમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:41 pm

મનપા માં 11મી વખત વહીવટદાર મુકાશે:આગામી તા.9 માર્ચના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતા મેયર સહિતના 51 નગરસેવકો હવે ત્રણ દિવસના સત્તામાં રહેશે

ભાવનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ ત્રણ દિવસમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે આગામી તા.9 માર્ચના રોજ છેલ્લી સાધારણ સભા યોજાશે ત્યારબાદ મેયર સહિત 51 નગરસેવકો હવે ત્રણ દિવસ સત્તામાં રહેશે ત્યારબાદ વહીવટદાર તમામ નિર્ણયો કરશે, મહાનગરપાલિકામાં વહીવટદાર મુકાશે અને તે ચૂંટણી સુધી વહીવટદાર તરીકે કામગીરી કરશે, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પાંચ વર્ષ પૂર્વે યોજાઇ હતી અને આગામી તા.9 માર્ચ 2026 ને સોમવારના રોજ પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે છેલ્લી સાધારણ સભા મેયર ભરત બારડ ના અધ્યક્ષસ્થાને સભા હોલ ખાતે યોજાશે અને આગામી તા.10 માર્ચ 2026 મંગળવારના રોજ રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર મૂકવામાં આવશે, ભાવનગર મહાનગરપાલિકાના 13 વોલ્ટ છે અને જેમાં 52 નગર સેવકો છે જેમાં ભાજપના 44 નગરસેવક અને કોંગ્રેસના 8 નગરસેવક છે ભાજપના એક મહિલા નગર સેવક નું નિધન થયું છે તેથી હાલ 51 નગરસેવકો છે અને મેયર સહિત 51 નગરસેવકો હવે ત્રણ દિવસ સત્તામાં રહેશે, અને ત્યારબાદ મહાનગરપાલિકા નો વહીવટ વહીવટદાર સંભાળશે, સરકાર દ્વારા વહીવટદાર તરીકે કમિશનરને મૂકવામાં આવે છે કે અન્ય અધિકારીને મૂકવામાં આવશે તેને લઈ ચર્ચા જામી છે, ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 1982 માં થઈ હતી અને મહાનગરપાલિકાની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં જુદા જુદા સમયે 10 વખત વહીવટદાર મૂકવામાં આવ્યા છે અને હવે 11 મી વખત વહીવટદાર મૂકવામાં આવશે અને વહીવટદાર તરીકે સરકાર કોની નિમણૂક કરે છે તેની રાહ જોવી રહી...?

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:40 pm

આવતીકાલે રાજકોટનાં વિકાસના નવા દ્વાર ખુલશે:જીતુ વાઘાણીના હસ્તે મનપા-રૂડાનાં રૂ. 362 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, આજી ફિલ્ટર પ્લાન્ટ, નવા રીંગ રોડ પરનાં નવા રસ્તા, પેડક રોડનું ભૂમિપૂજન, વિનોદભાઇ શેઠ હોલનું ઉદઘાટન

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા શહેરના વિકાસને વેગ આપવા માટે આગામી સમયમાં કરોડોના ખર્ચે ઘણા નવા પ્રકલ્પો સાકાર થવા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટના પ્રભારી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કુલ રૂ. 362.60 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને થનારા અલગ-અલગ જનહિતલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આવતીકાલે શનિવારે બપોરે 3 કલાકે જ્યુબેલી ગાર્ડન ખાતે આવેલ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રથમ નાગરિક અને મેયર નયનાબેન પેઢડીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. તેમજ સાંસદ રૂપાલા અને મોકરિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જેમાં આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ, નવા રીંગ રોડ પરનાં નવા રસ્તાઓ, પેડક રોડનું ભૂમિપૂજન કરશે. અને વિનોદભાઇ શેઠ હોલનું ઉદઘાટન સહિતના લોકાર્પણ કરવામાં આવશે. આગામી 11 માર્ચના રોજ મનપાનાં શાસકોનો કાર્યકાળ પૂરો થનાર છે. તે પૂર્વે વધુમાં વધુ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. જેથી આગામી ચૂંટણીમાં તેનો લાભ મેળવી શકાય. હાલ આવતીકાલે રૂ. 362.60 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વતૈયારીઓના ભાગરૂપે આજે મેયર નયના પેઢડીયા સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રાજકોટ મહાપાલિકાનાં મુખ્ય પ્રકલ્પોની વાત કરીએ તો, સૌથી મોટો પ્રોજેક્ટ આજી ડેમ ખાતે 75 એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે, જેની પાછળ અંદાજે રૂ. 6048 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી 5 વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે તૈયાર કરાશે, જેનાથી શહેરની પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થશે. આ ઉપરાંત વોટર વર્કસ વિભાગ દ્વારા કટારીયા બ્રિજ પાસે નડતરરૂપ એમ.એસ. લાઈન શિફ્ટ કરી નવી 711 mmની લાઈન નાખવાની કામગીરી પણ હાથ ધરાશે, જેનો ખર્ચ રૂ. 297.88 લાખ છે. ઉપરાંત આરોગ્ય અને પર્યાવરણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જેમાં રેલનગર વિસ્તારમાં રૂ. 314 લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર અને રૂ. 148 લાખના ખર્ચે તૈયાર થયેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવશે. રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રેસકોર્ષ સંકુલમાં ફૂટબોલ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે રૂ. 374 લાખના ખર્ચે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. ડ્રેનેજ વિભાગ માટે રૂ. 229.92 લાખના ખર્ચે 3 નંગ વ્હીકલ માઉન્ટેડ રોબોટીક ક્લીનીગ મશીન વસાવવામાં આવ્યા છે, જેનાથી સફાઈ કામગીરી વધુ આધુનિક બનશે. વોર્ડ નં.17 માં રૂ. 556.00 લાખના ખર્ચે બનેલા વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવશે. વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં પણ અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં જામનગર રોડ જંકશન પાસે રૂ. 371.09 લાખના ખર્ચે ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવાનું આયોજન છે. વોર્ડ નં.5 માં પેડક રોડને રૂ. 4383.69 લાખના ખર્ચે ગૌરવપથ તરીકે વિકસાવામાં આવશે. ઉપરાંત વોર્ડ નં.6 માં કનકનગર શાક માર્કેટને રૂ. 490 લાખના ખર્ચે અદ્યતન બનાવવાની અને મહારાણા કોમ્યુનીટી હોલને રૂ. 1184 લાખના ખર્ચે રીડેવલપ કરવાની યોજના છે. વોર્ડ નં.18માં વિરાણી અઘાટ થી બોલબાલા રોડ સુધી પાઈપલાઈન અને અન્ય ડ્રેનેજ કામો માટે પણ કરોડોની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા પણ મોટા પાયે રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ રિંગ રોડ-2, ફેઝ-5 (મોરબી રોડ થી અમદાવાદ રોડ) છે. જે બનાવવા માટે રૂ. 10581.46 લાખ અને તેમાં બ્રિજ તથા અંડરપાસ બનાવવા માટે રૂ. 3191.75 લાખનો ખર્ચ થશે. તેમજ રોણકી વિસ્તારમાં રૂ. 2482.00 લાખના ખર્ચે વોટર સપ્લાય સ્કીમ અને કુવાડવાથી સરધાર રોડ સુધી રૂ. 1314.51 લાખના ખર્ચે 30 મીટરના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તરઘડી અને કાંગશિયાળી વિસ્તારમાં તૈયાર થયેલા નવા રોડનું લોકાર્પણ પણ આ તકે કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં ભાજપના શાસકોનો કાર્યકાળ 11 માર્ચના રોજ પૂર્ણ થનાર છે. જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જુદી-જુદી બે સ્ટેન્ડિંગની બેઠકો પણ યોજવામાં આવી હતી. જેમાં કરોડો રૂપિયાના વિકાસકામ મંજુર કરવામાં આવ્યા છે. આ પૈકી જેટલા બને તેટલા વધુ કામોનાં ખાતમુહૂર્ત અને અગાઉના પૂર્ણ થયેલા કામોનાં લોકાર્પણ 11 માર્ચ પહેલા પૂર્ણ કરવાની દોડધામ હાલ શાસકો દ્વારા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં લાખો લોકોની ટ્રાફિક સમસ્યાને હલ કરનારા નવા ફોરલેન સાંઢીયા બ્રીજનું કામ પણ પૂર્ણ થનાર છે. ત્યારે આ બ્રીજનું લોકાર્પણ પણ ચૂંટણીઓની જાહેરાત થાય તે પહેલા કરવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:39 pm

કુદરતી આપત્તિના વધતા જોખમને લઈને ગાંધીનગરમાં બેઠક:શહેરીકરણ-કેમિકલ જોખમો અને નાગરિક તાલીમ પર ચર્ચા, ટેકનોલોજી આધારિત રિસ્ક મેપિંગ પર ભાર મૂકાયો

કુદરતી આપત્તિઓના વધતા જોખમ વચ્ચે રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ કેટલી અસરકારક છે તે મુદ્દે ફરી ચર્ચા ઉઠી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર, વાવાઝોડા અને અનિયમિત વરસાદ જેવી ઘટનાઓ વધતી જતાં રાજ્યને વધુ સજ્જ બનાવવાની જરૂરિયાત સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવીમહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યમાં સંભવિત કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરીકરણ, કેમિકલ ઉદ્યોગો અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે નવા જોખમો ઊભા થાય છેચર્ચા દરમિયાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન માત્ર ઘટના પછી રાહત અને પુનઃવસન પૂરતું મર્યાદિત રહેવું જોઈએ નહીં, પરંતુ અગાઉથી જોખમોને ઓળખી તેને ઘટાડવા માટે વધુ અસરકારક આયોજન જરૂરી છે. ખાસ કરીને શહેરોમાં વધતા શહેરીકરણ, કેમિકલ ઉદ્યોગો અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે નવા પ્રકારના જોખમો ઉભા થઈ રહ્યા છે. સામાન્ય નાગરિકોને પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવીબેઠકમાં એ મુદ્દા પર પણ ભાર મૂકાયો હતો કે, આપત્તિ સમયે સૌથી પહેલો પ્રતિસાદ સ્થાનિક નાગરિકો તરફથી જ મળે છે. તેથી સામાન્ય નાગરિકોને પ્રાથમિક સારવાર, સીપીઆર અને સુરક્ષા અંગે તાલીમ આપવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત, પૂર અથવા ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં શહેરોની ડ્રેનેજ વ્યવસ્થા, વીજ પુરવઠો અને પરિવહન જેવી સેવાઓ અસરગ્રસ્ત ન થાય તે માટે સંકલિત આયોજન કરવાની જરૂરિયાત પણ સામે આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી આધારિત રિસ્ક મેપિંગ, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને મોકડ્રીલ દ્વારા રાજ્યની તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમછતાં વધતા કુદરતી જોખમોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ અસરકારક આયોજન અને વિવિધ વિભાગો વચ્ચે સક્રિય સંકલન જરૂરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:37 pm

એસ.પી. કચેરી પરેડ ગ્રાઉન્ડમાં 2025-26નું વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન:જિલ્લા પોલીસ વડા સહિત ASP, DYSP, PI અને PSI સહિતના અધિકારીઓ પરેડમાં જોડાયા

ભાવનગર એસ.પી. કચેરી ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને વર્ષ 2025 નું વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમા જિલ્લા પોલિસ વડા , ASP, DYSP, PI, PSI સહિતના પોલિસ અધિકરીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. તમામ ભાગ લેનાર કર્મચારીઓને રોકડ ઇનામ અને પ્રશંસા પત્રોથી તેમને સન્માનિત પણ કરવામાં આવશેઆ અંગે રેન્જ આઈજી ગૌતમ પરમાર એ જણાવ્યું હતું કે, વર્ષ 2025નું વાર્ષિક ઇન્સ્પેક્શનની વાર્ષિક પરેડ લેવામાં આવી હતી. ગત મહિને કેટલાક સુધારની જરૂર જણાતા સૂચના કરવામાં આવી હતી ભાવનગર જીલ્લા પોલીસને, કે હજી સારું પરફોર્મન્સ થઇ શકે તેમ છે અને ભાવનગર જીલ્લા પોલીસે ખૂબ મહેનત કરીને આજે ફરીથી 2025ની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કર્યું હતું અને પરેડ જોતા ખૂબ જ સંતોષકારક રીતે અને બહુ સારી રીતે પરેડ કરવામાં આવી છે. તમામ ભાગ લેનાર કર્મચારીઓને રોકડ ઇનામ અને પ્રશંસા પત્રોથી તેમને સન્માનિત પણ કરવામાં આવશે અને સાથે-સાથે જે અધિકારીઓએ સારામાં સારી પરેડ કરી છે તમામ ને પણ પ્રશંસા પત્ર અલગ રીતે આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:33 pm

રાજકોટમાં ફૂડ વિભાગની લાલઆંખ:ભેળસેળની આશંકાએ પનીર, તેલ સહિતના 14 નમૂના લઈ 11 પેઢીને નોટિસ, 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ભાવિક ટ્રેડિંગ, શક્તિ સેન્ડવિચ, પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ, અંજલિ ચાઇનીઝ, પસાતા રેસ્ટોરન્ટ, શ્રીરામ ડેરીફાર્મ, શ્રી પટેલ સ્વીટ્સ, બંસી ડેરી, જય શ્રીખોડિયાર દુગ્ધાલય, આરવ એન્ટરપ્રાઇઝ, ઇસ્કોન ફૂડ, આર.વી. ફૂડ અને શ્રી ચાઇનીઝ પંજાબી જેવી 13 પેઢીઓમાંથી પનીર, રિફાઈન્ડ કપાસિયા તેલ તથા પનીરની તૈયાર સબ્જીના કુલ 14 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ સાથે જ કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અક્ષર પાઉભાજીમાંથી 05 કિલોગ્રામ વાસી ખોરાકનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને લાયસન્સ વગર વ્યવસાય કરતી પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. વાસી ખોરાક અને લાયસન્સ બાબતે કડક કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 'અક્ષર પાઉભાજી ચાઇનીઝ પંજાબી' (યશરાજ કોમ્પ્લેક્સ) ખાતેથી 05 કિલોગ્રામ જેટલો વાસી પ્રિપેડ ફૂડનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તુરંત નાશ કરાયો હતો. આ ઉપરાંત, આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા અને ફૂડ લાયસન્સ મેળવવા બાબતે આ પેઢીને નોટિસ અપાઈ હતી. તપાસ દરમિયાન અન્ય 06 પેઢીઓ પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું, જેમાં ફિલ ઈન ક્વોલિટી આઈસ્ક્રીમ, DISTINCTO FOODS LLP, કિરણ લાઈવ પફ, કટક મટક ફાસ્ટ ફૂડ, જય પાન હાઉસ અને ICY SPICY કોલ્ડ્રિંક્સનો સમાવેશ થાય છે. આ તમામ પેઢીઓને વહેલી તકે લાયસન્સ મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. તે સિવાય પટેલ પાન, ખોડીયાર હોટલ, અમર પાન અને છાશ વાલા જેવી પેઢીઓમાં પણ ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પનીર અને તેલ સહિતના 14 નમૂનાની વિગત * ખાદ્ય તેલ: ભાવિક ટ્રેડિંગ (કોઠારીયા રોડ) માંથી 'નિરાલી રિફાઈન્ડ કોટનસીડ ઓઈલ' (15 કિલો પેકિંગ). * બ્રાન્ડેડ પનીર: શક્તિ સેન્ડવિચ (રૈયા ચોકડી) માંથી 'અમુલ મલાઈ પનીર', શ્રી પટેલ સ્વીટ્સ (મવડી પ્લોટ) માંથી 'રબ મલાઈ પનીર', બંસી ડેરી (ગોંડલ રોડ) માંથી 'દૂધ મસ્તી મલાઈ પનીર', આરવ એન્ટરપ્રાઇઝ (જાગનાથ) માંથી 'મિલ્કી મિસ્ટ પનીર' અને અમૃતસરી હવેલી (ઇસ્કોન ફૂડ) માંથી 'ડેલારા મલાઈ પનીર'. * ખુલ્લું (લૂઝ) પનીર: પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ (રામાપીર ચોક), અંજલિ ચાઇનીઝ (ઇન્દિરા સર્કલ), પસાતા રેસ્ટોરન્ટ (રૈયા રોડ), શ્રીરામ ડેરીફાર્મ (સોમનાથ શેરી) અને જય શ્રીખોડિયાર દુગ્ધાલય (મીલપરા) ખાતેથી પનીરના નમૂના લેવાયા હતા. * તૈયાર પનીર સબ્જી: ભાખરીવાલા (રૈયા ચોકડી) માંથી 'પનીર અંગારા સબ્જી', શ્રી ચાઇનીઝ પંજાબી (યાજ્ઞિક રોડ) માંથી 'પનીર બટર મસાલા' અને પસાતા રેસ્ટોરન્ટમાંથી 'પનીર લબાબદાર સબ્જી' ના નમૂના લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ જણાશે અથવા નમૂના ફેઈલ જશે, તો સંબંધિત પેઢીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે. મહાનગરપાલિકાની આ કામગીરીથી અખાદ્ય વસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતા નમૂનાઓનો રિપોર્ટ આવવામાં બે-ત્રણ મહિના જેટલો સમય લાગે છે. ત્યારે આ રિપોર્ટ ઝડપથી આવે તે માટે પગલાં લેવા જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:28 pm

બોર્ડની પરીક્ષાના CCTVનું કડક મોનિટરિંગ:પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સીસીટીવીનું ચેકિંગ શરૂ, નિરીક્ષક-વિદ્યાર્થીને હિયરિંગ માટે બોલાવી કાર્યવાહી કારશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ગેરરીતિ પકડવા માટે અમદાવાદ શહેરમાં સીસીટીવીની ચકાસણી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેર બે સેન્ટર પર કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે. જ્યાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની દેખરેખ હેઠળ વર્ગખંડમાં લાગેલા સીસીટીવી ચેકિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. સીસીટીવી ચેકિંગ દરમિયાન કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ કરતો ઝડપાય છે તો તેનું વીડિયો રેકોર્ડિંગની અલગ સીડી બનાવવામાં આવે છે. જે બાદ ખંડ નિરીક્ષકને હિયરિંગ માટે બોલાવીને તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 50 લોકોની નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓના વર્તન પર નજરઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. શહેરમાં કુલ 347 બિલ્ડિંગોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે. આ તમામ કેન્દ્રોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ એકત્રિત કરીને શહેરમાં બનાવવામાં આવેલા બે કોમ્પ્યુટર સેન્ટર પર લાવવામાં આવે છે. ત્યારબાદ અહીં ખાસ ટીમ દ્વારા તે રેકોર્ડિંગની વિગતવાર તપાસ કરવામાં આવે છે. બંને સેન્ટર પર 25-25 કર્મચારીઓ એટલે કે કુલ 50 લોકો સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓના વર્તન પર નજર રાખી રહ્યા છે. ખંડ નિરીક્ષક અને વિદ્યાર્થીને હિયરિંગ માટે બોલાવાશેતેમજ સીસીટીવી ચેકિંગ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતો જોવા મળે તો તેની વીડિયો ક્લિપ અલગથી સેવ કરવામાં આવે છે. ત્યારબાદ તે વીડિયો રેકોર્ડિંગની અલગ સીડી તૈયાર કરવામાં આવે છે. જે બાદ પુરાવાના આધારે સંબંધિત ખંડ નિરીક્ષક અને ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને હિયરિંગ માટે બોલાવવામાં આવે છે. તેમજ ગેરરીતિ સાબિત થાય તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેની વિગતો ગુજરાત બોર્ડમાં મોકલવામાં આવા છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સીસીટીવીથી મોનિટરિંગપરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ગેરરીતિ કરીને પાસ ન થાય તે માટે સીસીટીવી આધારિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ વખતે પરિણામ વહેલું જાહેર થાય તે માટે વધારાના સ્ટાફની નિમણૂક કરીને ચેકિંગની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે. ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓની નોંધ લઈ અલગ સીડી બનાવાશેસીસીટીવી ચકાસણી સેન્ટરના નોડલ અધિકારી જુહીબેન ભ્રમભટ્ટે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક સેન્ટર પરથી સીડી લાવવામાં આવી છે. તેમજ તેનું મોનિટરિંગ અને વ્યુવિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમે ચેકિંગ દરમિયાન એ ખાસ ધ્યાન રાખીએ છીએ કે જો કોઈ વિદ્યાર્થી આજુબાજુ નજર કરતો હોય, કે પછી આગળ પાછળ પેપરની આપલે કરતો હોય, તેમજ જો તેમાં પાસે ગેરરીતિ કરવા માટેની કોઈ સામગ્રી હોય તો તેવા વિદ્યાર્થીઓની નોંધ લઈને અલગ સીડી તારવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:14 pm

લાંબા સમયથી ફરાર ચાર આરોપી ઝડપાયા:મહેસાણા પેરોલ ફ્લો સ્કોડે હોળીમાં વતનમાં આવેલા ત્રણને ઊંઘમાં જ દબોચી લીધા

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કોડને બે મહત્વની સફળતા મળી છે. પોલીસે નંદાસણ પોલીસ સ્ટેશનના દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને દાહોદથી અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ એક આરોપીને મહેસાણાના ફતેપુરા બાયપાસ પાસેથી ઝડપી પાડ્યો છે. હોળીના તહેવારે વતનમાં આવેલા ત્રણ આરોપી ફિલ્મી ઢબે ઝડપાયાનંદાસણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 અને 54 મુજબ નોંધાયેલા ‘દુષ્પ્રેરણ’ના ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા ત્રણ આરોપીને પકડવા માટે પેરોલ ફર્લો સ્કોડ સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન એ.એસ.આઈ. ચેતનકુમાર, જયદીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમારને સચોટ બાતમી મળી હતી કે, આરોપીઓ હોળીનો તહેવાર મનાવવા વતન દાહોદના ખંગેલા ગામે આવ્યા છે. પોલીસે આરોપીઓને ઊંઘમાં જ ઝડપી પાડ્યાંબાતમીના આધારે પોલીસની ટીમ ખાનગી વાહનમાં તાત્કાલિક દાહોદ પહોંચી હતી. રાત્રિના સમયે ઘેરો ઘાલીને ત્રણેય આરોપી દરૂ કાંતીભાઈ મેડા, બાબુ વસનાભાઈ મેડા અને દિનેશ વસનાભાઈ મેડાને ઊંઘતા જ ઝડપી લીધા હતા. આરોપીઓની અટકાયત કરી કતવારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી તેમને નંદાસણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજા કેસમાં પ્રોહિબિશનના ગુનાનો આરોપી ફતેપુરા બાયપાસથી હસ્તગતબીજી એક કાર્યવાહીમાં મહેસાણા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી મયુરજી ઉર્ફે ટેણી બાબુજી ઠાકોર (રહે. રામોસણા) ફતેપુરા બાયપાસ સર્કલ પાસે હોવાની બાતમી એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ હિતેશકુમારને મળી હતી. પોલીસે લોકેશન પર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. જરૂરી પૂછપરછ બાદ આરોપીના સગા-સંબંધીઓને જાણ કરવામાં આવી હતી અને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પેરોલ ફર્લો સ્કોડની આ કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 6:11 pm