SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

શાપર પોલીસની કાર્યવાહી:ગેસ સિલિન્ડરની મહામારી વચ્ચે પારડી ગામમાં ચૂલા રિપેરિંગની આડમાં રીફિલિંગ થતું’તું : 116 બાટલા જપ્ત

એક તરફ ગેસના બાટલાની અછત સર્જાઈ રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોધિકા તાલુકાના પારડી ગામે શીતળા મંદિર ચોક પાસે સોનુ ગેસ એજન્સી એન્ડ રિપેરિંગ નામની દુકાનમાંથી શાપર પોલીસે કાળાબજાર કરવા સંગ્રહ કરેલા એલ.પી.જી. ગેસના ભરેલા બાટલાઓ, નળી, રેગ્યુલેટર, વજનકાંટો સહિતની કુલ રૂ.80600ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ બિહારના અને રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં રહેતો રવિરંજન કમલકિશોર બિંદ અને રાજીવ કમલકિશોર બિંદ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે, પોલીસને મળેલી બાતમી અનુસાર પારડી ગામે શીતળા માતાજીના મંદિર નજીક આવેલી એક દુકાનમાં ગેસ એજન્સીના નિયમોનો ભંગ થતો હોય, દુકાનમાં ગેસ એજન્સી અને રિપેરિંગનું બોર્ડ મારેલું હોય પણ અંદર કોઈ પણ જાતના લાઇસન્સ વગર લોકોની જિંદગી જોખમાઈ એ રીતે ગેસના બાટલા રીફિલ કરવાનું કામ શરૂ હતું. જે બાતમીના આધારે રૂબરૂ જોઈ તપાસતા પોલીસે દુકાનના માલિક રવિરંજન અને રાજીવની પૂછપરછ કરતા તેઓની પાસે કોઈ પણ જાતનું લાઇસન્સ ન મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનમાંથી પોલીસે એલપીજીના 15 કિ.ગ્રા.ના 6 નંગ બાટલા, 4 કિ.ગ્રા.ના 7 નંગ બાટલા, 7 નંગ ખાલી બાટલા, એલ.પી.જી.ના 3 કિ.ગ્રા.ના 34 નંગ બાટલા, ખાલી બાટલા 34 નંગ, ઈલેક્ટ્રિક વજનકાંટો, ગેસ રિપેરિંગ કરવા માટેની નળીઓ, રેગ્યુલેટર બાદમાં નજીકની બીજી દુકાનમાં જોવા જતા 15 કિ.ગ્રા.ના 9 નંગ બાટલા, 12 કિ.ગ્રા.ના 3 નંગ બાટલા, 19 કિ.ગ્રા.નો 1 નંગ બાટલો, 4 કિ.ગ્રા.ના 6 નંગ ભરેલા બાટલા, 5 કિ.ગ્રા.ના ખાલી 9 નંગ બાટલા એમ કુલ ખાલી અને ભરેલા 116 જેટલા બાટલા કબજે કરી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પીએનજી ઉપયોગકર્તાને એલપીજી સિલિન્ડર આપવું ગુનો બનશેકેન્દ્ર સરકારે કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે, તા.14 માર્ચથી કોઇપણ ગેસ એજન્સી સંચાલક પીએનજી ઉપયોગકર્તાને એલપીજીનું સિલિન્ડર આપશે તો હવે લેનાર અને વેચનાર બંનેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતની તમામ એજન્સીના સંચાલકોને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. ઉપરાંત એજન્સીઓમાં ચેકિંગ પણ કરવામાં આવશે. રી-ફિલિંગ કરતા તત્ત્વો પર પણ નજર રાખવામાં આવશે. પુરવઠા વિભાગ ઉપરાંત પોલીસને પણ તાકીદ કરવામાં આવી છે કે, યુદ્ધની સ્થિતિ છે ત્યારે એલપીજી ગ્રાહકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સમયાંતરે ચેકિંગ કરવું તેમજ રી-ફિલિંગ સંદર્ભે પણ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:57 am

વેધર રિપોર્ટ:હીટવેવ એલર્ટ વચ્ચે તાપમાનમાં પાંચ દિવસમાં 5 ડિગ્રીનો ઘટાડો

સૌરાષ્ટ્રમાં હીટવેવના એલર્ટ વચ્ચે વાતાવરણમાં પલટો આવતા પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે, સાથે જ આગામી તા.18 અને 19મીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરતળે ટર્ફ ગુજરાત તરફ લંબાયું છે. જેને પગલે આગામી તા.18ના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તેમજ તા.19ના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, તા.8 માર્ચથી ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી ગયા બાદ તા.12 માર્ચ સુધી સતત હીટવેવની સ્થિતિ વચ્ચે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. સાથે જ લઘુતમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી જેટલો વધારો થયો હતો. ઊંચું તાપમાન કમોસમી વરસાદને ખેંચી લાવ્યુંરાજ્યમાં તા.18 અને 19ના રોજ કમોસમી વરસાદની આગાહી અંગે ભાસ્કર એક્સપર્ટ પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, તા.9થી 14 દરમિયાન હીટવેવ કન્ડિશનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટર્ફ સૌરાષ્ટ્ર સુધી લંબાયો હોવાથી ઉંચા તાપમાનના કારણે કેશાકર્ષણને કારણે કમોસમી વરસાદની સ્થિતિ ઊભી થઇ છે. જેમાં તા.18 અને 19 માર્ચે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં વરસવાની શક્યતા વચ્ચે કેટલાક સ્થળોએ બેથી પાંચ મીમી વરસાદ વરસી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:55 am

કોર્ટે ફટકારી સજા:રાજકોટમાં 7 વર્ષની બાળકીને અડપલાં કરવાના ગુનામાં આરોપીને 5 વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટની પોક્સો અદાલત દ્વારા 7 વર્ષની બાળકી પર શારીરિક શોષણ અને બીભત્સ સામગ્રી બતાવવાનો આરોપી અલ્પેશ વાલજીભાઈ લાણિયાને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા સાથે જ, ભોગ બનેલી બાળકીને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 6-3-2021ના રોજ એક મહિલાએ ફરિયાદ લખાવેલ કે, તેમની સાત વર્ષની બાળકી મોબાઈલમાં બીભસ્ત ફોટા વીડિયો જોતી હોય ત્યારે તેણી જોઈ જતા બાળકીને પૂછતા કે તું શું કરે છે તો બાળકીએ જણાવેલ કે તેમની બાજુમાં રહેતા અને જેને મામા તરીકે સંબોધતા અલ્પેશ વાલજીભાઈ લાણિયાએ આવું જોવાનું શીખવાડેલ છે અને તેને ડિલીટ કરવાનું શીખવાડેલ છે. વધુમાં બાળકીએ એવું પણ જણાવેલ કે, તેણી જ્યારે રમતી હોય ત્યારે બાજુમાં રહેતા અલ્પેશ મામા તેણીને તેના ઘરમાં લઈ જઈ તેણીની ઉપર સૂઈ જઈ તેણીના શરીરે હાથ ફેરવી શારીરિક અડપલાં કરતા હતા. જેના પગલે બાળકીની માતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ વાલજીભાઈ લાણિયા (રહે. વાવડી ગામ પાસે, ઓમ સુપર માર્કેટ પાછળ, મૂળ રહે.ચુડા જિલ્લો સુરેન્દ્રનગર) વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ તાલુકા પોલીસે આરોપી અલ્પેશ લાણિયાની ધરપકડ કરી જેલહવાલે કર્યો અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસ ચાલી જતા સરકારી વકીલ મુકેશ પીપળિયા દ્વારા આ કેસના ફરિયાદીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી હતી. આ કામના ભોગ બનનાર 7 વર્ષની બાળકીની વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરમાં જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત તબીબ અને તપાસનીશ અધિકારીની જુબાની લેવાઇ હતી. આમ સરકાર પક્ષે રજૂ કરેલા આધાર-પુરાવાઓ ધ્યાને લઇ સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટએ આરોપીને 5 વર્ષની સખત કેદની સજા કરી છે અને ભોગ બનનાર બાળકીને વિક્ટિમ કમ્પોઝિશન અન્વયે રૂપિયા બે લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:55 am

સન્ડે બિગ સ્ટોરી:જ્યાં એક પણ બસ જતી નથી ત્યાં બસ સ્ટેન્ડ બનાવાયા!

રાજકોટ નજીક સ્માર્ટ સિટી બનાવવામાં આવ્યું છે. તેમાં અત્યાર સુધીમાં અંદાજે 2500 કરોડનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. અટલ નામનું સરોવર પણ બનાવવામાં આવ્યું છે. અટલ સરોવર અને તેને જોડતા મુખ્ય માર્ગો પર સ્માર્ટ બસ સ્ટેન્ડ બનાવાયા છે. કુલ 15 બસ સ્ટેન્ડ સાડા ચાર કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. વર્ષ 2022-23માં બસ સ્ટેન્ડ બનાવવાનું શરૂ થયું હતું. માર્ચ-2024માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સ્માર્ટ સિટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 1 મે 2024ના રોજ લોકો માટે 15 બસ સ્ટેન્ડ ખુલ્લા મુકાયા હતા. હવે મહત્ત્વની વાત એ છે કે, સાડા ચાર કરોડના ખર્ચે બનાવાયેલા 15 બસ સ્ટેન્ડમાંથી છેલ્લા પોણા બે વર્ષમાં કરોડો રૂપિયાનો કિંમતી માલસામાન ચોરાઇ ગયો છે અથવા તો તૂટી-ફૂટી ગયો છે. સૌથી વિશેષ વાત એ છે કે, બસ સ્ટેન્ડ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે ત્યાં લોકોને બસની સુવિધા મળે. જો કે મનપાના જ અધિકારીઓ કહે છે કે, અહિંયા હજુ સુધી (અમુક બસ સ્ટેન્ડને બાદ કરતા) સિટી બસ જતી નથી છતાં બે વર્ષ પહેલાં જે બસ સ્ટેન્ડ બનાવાયા તેનો અત્યારે તો રાત્રિના સમયે દારૂ-બીયર પીવાવાળા લોકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત જેટલી વસ્તુ બસ સ્ટેન્ડમાંથી કાઢી શકાઇ તેમ હતી તેટલી કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ રાજકોટના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાની દેખરેખ હેઠળ પૂરો થયો હતો. જો કે હાલ આ બસ સ્ટેન્ડની હાલત પણ પૂર્વ જેવી એટલે કે નિવૃત્ત થઇ ગયા હોય તેવી થઇ ગઇ છે. બીયરના ટીનના ઢગલાં છે અને રેલિંગ ચોરાઇ ગઇ તમામ બસ સ્ટેન્ડના દરવાજા પણ તૂટી ગયા છે અથવા તો તોડી નાખવામાં આવ્યા છે. સ્લાઇડર ડોરની હાલત ભંગાર જેવી થઇ ગઇ છે તેનો ઉપયોગ કરવો પણ હવે અશક્ય છે. લોકો શહેરમાં રહે છે, સુવિધા બારોબાર અપાઇ લાખો રૂપિયાનો ખર્ચ કરીને બસ સ્ટેન્ડની અંદર સરસમજાની સીલિંગ ટાઇલ્સ નાખવામાં આવી હતી. જો કે તમામ બસ સ્ટેન્ડમાંથી અડધોઅડધ સીલિંગ ટાઇલ્સ ચોરાઇ ગઇ છે અથવા તો તોડી નાખવામાં આવી છે, સાઇડની જારી પણ અમુક બસ સ્ટેન્ડમાંથી ચોરી થઇ ગઇ છે. તૂટેલા દરવાજા અને ફૂટેલા સ્લાઇડર ડોર બસ સ્ટેન્ડની બાજુમાં લોખંડની રેલિંગ નાખવામાં આવી હતી જે આખેઆખી ગાયબ થઇ ગઇ છે. બસ સ્ટેન્ડ દારૂડિયાનો અડ્ડો હોય તેમ બીયરના ટીન અને અસંખ્યા ખાલી બોટલો પડી છે. સન્ડે બિગ સ્ટોરી

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:52 am

સગીરે સર્જ્યો જીવલેણ અકસ્માત:13 વર્ષના સગીરે ટુવ્હીલર ચલાવીને બાળકી-વૃદ્ધને ટક્કર મારી, વૃદ્ધનું મોત

દાણીલીમડામાં 13 વર્ષીય સગીરે પૂરપાટ ઝડપે ટુવ્હીલર ચલાવી સોસાયટીમાં રમતી 4 વર્ષની બાળકી અને ઘરના દરવાજે પહોંચેલા વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું જ્યારે બાળકીને દીકરીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ હતી. દાણીલીમડાની શક્તિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત નૂરમોહમદ (68) 13 માર્ચે રાતે નમાઝ અદા કરી ઘરે આવતા હતા, ઘરના દરવાજે પહોંચ્યા ત્યારે એક ટુવ્હીલર ચાલકે પુરપાટ ઝડપે આવીને તેમને ટક્કર માર્યા પછી ત્યાં રમતી 4 વર્ષીય ફાતીમાને પણ ટક્કર મારી હતી. લોકો ભેગા થઈ જતાં ચાલક ફરાર થઈ ગયો હતો. નૂરમોહમદ અને ફાતિમાને હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરે નૂરમોહમદને મૃત જાહેર કર્યા હતા. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર 13 વર્ષીય સગીર હોવાથી તેના પિતા સામે ગુનો નોંધ્યો છે. ટુવ્હીલર જમાલપુરમાં રહેતા અને મજૂરીકામ કરતા શાહફેઝલ કુરેશીનું હતું. તેઓ મજૂરીકામે ગયા ત્યારે 13 વર્ષીય દીકરાએ ટુવ્હીલર પર નીકળી અકસ્માત કર્યો હતો. બીજા બનાવમાં સોલામાં રહેતા પારસ ગોહિલ 17 જાન્યુઆરીએ પરિવાર સાથે કારમાં ફરવા નીકળ્યા હતા. રાતના સમયે સતાધાર ચાર રસ્તા સિગ્નલ બંધ હોવાથી ઊભા હતા ત્યારે ઓવરસ્પીડે આવેલી ટ્રકે કાર તથા બીજાં બે વાહનને ટક્કર માર્યા બાદ ટ્રક ચાલક ફરાર થયો હતો. આ મામલે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં ટ્રક માલિક મહેન્દ્રસિંહ ચૌહાણ (40, રહે. ભાડજ) હોવાનું જણાયું હતું. તેમણે 17 વર્ષીય સગીરને ટ્રક ચલાવવા આપતા તેણે અકસ્માત કર્યો હતો. જેથી પોલીસે મહેન્દ્રસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ આદરી છે. ગુજરાતમાં રોજ એક માર્ગ અકસ્માતનું કારણ સગીરકેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ, 2023 અને 2024માં રાજ્યમાં 727 અકસ્માત 18 વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. દેશમાં 11890 અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં 2063 અકસ્માત સગીરોએ સર્જ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટી મુજબ, રાજ્યમાં 2022 અને 2023 દરમિયાન 18 વર્ષથી નાના 893 એટલે કે વર્ષે સરેરાશ 446 યુવકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. સગીરના ડ્રાઇવિંગના કિસ્સામાં બિહારમાં 44 લાખ, છત્તીસગઢમાં 1.30 લાખ, દિલ્હીમાં 44 હજાર, જમ્મુ કાશ્મીરમાં 1.36 લાખ, ઉત્તરાખંડમાં 1.05 લાખ, ઉત્તર પ્રદેશમાં 23 હજાર દંડ ઇ-ચલણમાં ફટકારાયો છે. પરંતુ આ અંગે ગુજરાત વિશે કોઈ માહિતી નથી. કેન્દ્ર સરકારે ઇન્ટીગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ ((iRAD) સિસ્ટમમાંથી આ માહિતી આપી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:34 am

લ્યો બોલો!:શહેરમાં AMTSની 800 પૈકી 41 બસ રોજ બ્રેકડાઉન થાય છે

શહેરમાં એએમટીએસ બસ છેલ્લા 5 વર્ષમાં જ 77460 વખત ખોટકાઇ છે અથવા તો વિલંબથી ચાલી છે. 5 વર્ષમાં મ્યુનિ. દ્વારા એએમટીએસ પાછળ રૂ. 3069.87 કરોડનું બજેટ ફાળવ્યું હોવા છતાં પણ એએમટીએસની બસો વારંવાર ખોટકાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. શહેરમાં સતત પ્રતિ વર્ષ બ્રેકડાઉનની સંખ્યા વધે છે. નોંધનીય છેકે, એએમટીએસ પાસે 800થી વધારે બસો છે જે અત્યારે રસ્તા પર દોડી રહી છે. રોજની 41 બસો બ્રેકડાઉન થઇ રહી છે. જે બીઆરટીએસમાં આ સંખ્યા રોજની 61 બસની છે. એએમટીએસમાં રોજના 5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. ચાલુ વર્ષે મ્યુનિ. દ્વારા એએમટીએસનું 705 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ બસોની ફ્રીક્વન્સી તેમજ તેની ઝડપ સહિતની ગુણવત્તા સુધારવા પર યોગ્ય ભાર આપવામાં આવ્યો નથી. 5 વર્ષમાં કેટલી બસ બ્રેકડાઉન? AMTS હવે કોન્ટ્રાક્ટર માટે જ છેAMTS મુસાફરો માટે નહીં માત્ર કોન્ટ્રાક્ટરો માટે ચાલે છે. વારંવાર બસો વિલંબિત ચાલે છે કે પછી બ્રેકડાઉન થાય છે. બસમાં આગ લાગવાની ઘટના બને છે. જે ગંભીર બાબત છે - શહેજાદખાન પઠાણ (પૂર્વ વિપક્ષ નેતા, મ્યુનિ.)

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:31 am

આજથી સૂર્યની મીન સંક્રાંતિ:અંતિમ રાશિ મીનમાં સૂર્યના ભ્રમણથી નેત્રરોગ વકરે, કેન્સરના દર્દીઓ વધે

રવિવાર ને 15 માર્ચે રાત્રે 01.04 વાગ્યે ગ્રહમંડળના રાજા સૂર્ય રાશિચક્રની અંતિમ બારમી રાશિ મીનમાં પ્રવેશ કરશે. સૂર્યના આ પ્રવેશને મીન સંક્રાંતિ કહેવાય છે. આ દિવસથી મીનારક કમૂરતાંનો પણ આરંભ થશે, જે 14 એપ્રિલ સુધી રહેશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર મીન જળ તત્ત્વની, બેકી રાશિ અને રાશિચક્રની બારમી રાશિ છે, જેની પગનાં તળિયાંની ગણના થાય છે. નૈસર્ગિક કુંડલી મુજબ બારમો ભાવ જેલ, હૉસ્પિટલ સાથે ભક્તિભાવ માટે ગણાય છે. મીન રાશિમાં સૂર્યના ભ્રમણથી રાજા સમાન વ્યક્તિ આ સમયમાં જેલયાત્રા સંભવ સાથે બીમાર પડતાંની સાથે જ આઇસોલેશન થાય તેવા યોગ રચાઈ શકે છે. સાથે જ નેત્રરોગો વકરે તેવા યોગ સર્જાઈ શકે છે. મીન સંક્રાંતિની આ રાશિના જાતકો પર શુભાશુભ અસર

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:29 am

ભાસ્કર એક્સક્લુસિવ:જૈન યુવાનોએ 13 વર્ષમાં 91 હજાર કિલો પસ્તી એકત્ર કરી પુસ્તકો, ગણવેશ, સ્ટેશનરી વહેંચ્યાં

ઘરના ખૂણામાં પડી રહેતી પસ્તી પણ અભાવગ્રસ્ત લોકોની મદદમાં ઉપયોગી થઈ શકે છે. આ વાત અર્હમ યુવા સેવા ગ્રુપે સાર્થક કરી બતાવી છે. આ ગ્રુપ 13 વર્ષથી શહેરની વિવિધ સોસાયટીઓમાં જઈને લોકો પાસેથી પસ્તી એકઠી કરે છે અને તેને વેચીને મળતી રકમમાંથી જરૂરિયાતવાળાં બાળકોને પુસ્તકો, ગણવેશ, સ્ટેશનરી જેવી વસ્તુઓ આપે છે. અત્યાર સુધીમાં 91 હજાર કિલો જેટલી પસ્તી એકત્ર કરીને વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી છે. ગ્રૂપના જસ્મિન શાહે કહ્યું હતું કે રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી વર્ષ 2013માં અર્હમ યુવા સેવા ગ્રુપ શરૂ કરાયું હતું. 50થી વધુ યુવાન દર મહિને 2 રવિવારે શહેરના વિવિધ સોસાયટીઓમાંથી પસ્તી એકત્ર કરે છે. ત્યાર પછીના બે રવિવારે માનવસેવા અને જીવદયાનાં કાર્યો કરે છે. 13 વર્ષમાં 91 હજાર કિલોથી વધુની પસ્તી એકત્ર કરીને વિવિધ વિસ્તારોનાં બાળકોને મદદ કરાઈ છે. એપ્રિલમાં પસ્તી સે પુસ્તક મહા અભિયાનગ્રુપ દ્વારા 1થી 30 એપ્રિલ સુધી ‘પસ્તી સે પુસ્તક’ મહા પસ્તી અભિયાન આદરાશે. ગ્રુપના યુવાનો વિવિધ વિસ્તારોમાં પસ્તી એકત્ર કરશે અને તેની રકમમાંથી અનેક બાળકોને શિક્ષણ સહાય અપાશે. ગયા વર્ષે મહા પસ્તી અભિયાનમાં આશરે 2800 કિલો પસ્તી એકત્ર કરાઈ હતી. અને જેના દ્વારા વિવિધ શાળામાં સ્ટેશનરી, ગણવેશ, સ્ટડી ટેબલનું વિતરણ કરાયું હતું. પસ્તીનું દાન કરવા માગતા લોકો વોટ્સ અપ 9898010902, 9136442490 પર સંપર્ક કરી શકશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:27 am

પેપર રિવ્યુ:કમ્પ્યુટરના જાવાના 3 પ્રશ્નોના વિકલ્પોથી વિદ્યાર્થીઓ મૂંઝાયા

જીએસઈબીની ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શનિવારે કમ્પ્યુટર વિષયની અંગ્રેજી માધ્યમની પરીક્ષામાં પેપર સેટ નંબર(એ)માં ત્રણ માર્કસના 56, 82 અને 83 જાવાના પ્રકરણ આધારિત ત્રણ પ્રશ્નોમાં જવાબ રુપે દર્શાવાયેલા એકથી વધુ વિકલ્પો સાચા હોવાથી વિદ્યાર્થીઓને કયો જવાબ લખવો તેને લઈને મૂંઝવણ થઈ હતી તેમ કમ્પ્યુટર વિષય નિષ્ણાત સંજય કામદારે જણાવ્યું હતું. આ અંગે વાલીઓ શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરશે. 100 માર્કસનું પ્રશ્નપત્ર એકંદરે સરળ રહ્યું હતું. અંગ્રેજી માધ્યમના પ્રશ્ન નંબર - ૮૩In Java, if we want to allow other methods to modify the data value, we should use __ method . (A) અને (D) બંને જવાબ શક્ય છે પ્રશ્ન નંબર - ૮૨Which of the following operators creates an object and returns its references?માં જવાબ તો new એટલે કે (B) વિકલ્પ આવે પણ પ્રશ્ન માં operators (ગુજરાતીમાં જેને પ્રક્રિયક કહેવાય) પણ New ખરેખર તો કમાન્ડ કહેવાય પ્રક્રિયક ના કહેવાય. એટલે અહીંયા વિધાર્થીઓ ને પ્રશ્નમાં મૂંઝવણ થવી સ્વાભાવિક છે. પ્રશ્નપત્ર નંબર - ૫૬ In object oriented programming, the one which describes various characteristics of an object, is also known as _ માં જવાબ ટેક્સબુક પ્રમાણેProperty અને Attribute બંને સાચા છે.(કમ્પ્યુટર વિષય નિષ્ણાત સંજય કામદાર(એસ કે)ના જણાવ્યાં પ્રમાણે)

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:26 am

ભાસ્કર એક્સક્લુસિવ:વિવિધ છોડનાં પાનના રોગ શોધવા, માર્ગદર્શન માટે ‘હરિત રક્ષક’ એપ્લિકેશન ડિઝાઈન કરાઈ

આંબાવાડીની સરકારી પોલીટેકનિકના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને છોડના પાનમાં થતા રોગોની ઓળખ કરતી, માર્ગદર્શન આપતી ‘હરિત રક્ષક’(Haritrakhshak) નામની નવીન એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બાગાયત રસિકોને યોગ્ય માર્ગદર્શન આપે છે. આ એપ આઈસી ડિપાર્ટેમેન્ટના અધ્યાપક ડૉ. શ્રીજી ગાંધીના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ સુજય પટેલ, જનિલ મિસ્ત્રી, દક્ષ પટેલ, તુષાર પંચાલ અને સુમુખ પટેલે તૈયાર કરી છે. વિશાળ ડેટાસેટના ઉપયોગથી તૈયાર આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરાશે. આંતરરાષ્ટ્રીય જર્નલના અભ્યાસ બાદ એપ બનાવાઈવિવિધ આતંરરાષ્ટ્રીય જર્નલનો અભ્યાસ કરતા મને જાણવા મળ્યું કે એગ્રિકલ્ચરમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં વિવિધ રોગો થાય છે. જેના કારણે ખેડૂતો અને બાગાયતી કામ કરનારા લોકોને વિવિધ વનસ્પતિઓને લગતું માર્ગદર્શન આપવા માટે આ એપ ડિઝાઈન કરી છે.’ -ડૉ. શ્રીજી ગાંધી, પ્રોફેસર,આઈસી ડિપાર્ટન્ટ, સરકારી પોલીટેકનિક, 7,000થી વધુ પાનના ફોટા પરથી તાલીમહરિતરક્ષક એપ માટે લગભગ 7,000થી વધુ પાનના ફોટોગ્રાફ્સનો ડેટાસેટ તૈયાર કરી 10 GBથી વધુ ટ્રેઇન્ડ મોડ્યુલ્સનો ઉપયોગ કરીને પાનનું વિશ્લેષણ કરાય છે. યૂઝર પાનનો ફોટો સ્કેન કે અપલોડ કરે ત્યારે એપ ડેટાસેટ સાથે સરખામણી કરીને રોગની ઓળખ કરે છે. એપ શું માહિતી આપે છે?

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:25 am

ખાણીપીણીની ગુણવત્તા સુધરશે:માણેકચોકથી લો ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ બનશે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ બનાવેલા નિયમનો 1 એપ્રિલથી અમલ થશે. નાના ફૂડ બિઝનેસ પર વ્યવસ્થિત અને ડિજિટલ દેખરેખ રહેશે. માણેચોકથી લૉ ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ તૈયાર થશે. જેના કારણે ખાણીપીણીની ગુણવત્તામાં સુધારો થશે. નવા નિયમો મુજબ રૂ.1.5 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા ફૂડ બિઝનેસ માટે માત્ર નોંધણી પૂરતી રહેશે, જ્યારે રૂ.1.5 કરોડથી રૂ. 50 કરોડ સુધીના વ્યવસાય માટે રાજ્ય લાઇસન્સ અને રૂ. 50 કરોડથી વધુ માટે કેન્દ્રીય લાઇસન્સ જરૂરી રહેશે. અમદાવાદમાં અંદાજે 70 હજાર ફૂડ બિઝનેસ છે, જેમાંથી લગભગ 50 હજાર નાના લારી-ગલ્લા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો છે. નાના વેપારીઓ સરળ નોંધણીથી કાયદેસર રીતે વ્યવસાય કરી શકશે. મ્યુનિ. પાસે શહેરમાં કેટલા લારી-ગલ્લા છે, તેઓ ક્યાં ઊભા રહે છે અને શું વેચે છે તેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નહોતી. હવે મોટા પ્રમાણમાં વેપારીઓ નોંધણી કરશે ત્યારે સરકાર અને ફૂડ સેફ્ટી વિભાગ પાસે શહેરનો એક પ્રકારનો ડિજિટલ નકશો તૈયાર થશે, જેમાં સ્પષ્ટ રીતે ખબર પડશે કે કયા વિસ્તારમાં કેટલા વેન્ડર છે અને કોણ કયો ખાદ્ય પદાર્થ વેચે છે. આ ડેટા મળવાથી ચેકિંગની પ્રક્રિયા વધુ ચોક્કસ બની શકે છે. 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા 50 હજારથી વધુ નાના વેપારીઓને લાઈસન્સ પ્રક્રિયામાંથી રાહત લાઈસન્સ માટેનાં નવાં ધોરણો નવા નિયમો ગ્રાહકો માટે ફાયદાકારકશહેરમાં વધુ ફૂડ બિઝનેસ કાયદેસર રીતે નોંધાયેલા રહેશે, ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા પર વધુ નિયંત્રણ રહેશે. રિસ્ક આધારિત નિરીક્ષણ વ્યવસ્થા થકી નિયમોનું પાલન વધુ અસરકારક રીતે થશે અને અનિયમિતતા સામે ઝડપી કાર્યવાહી શક્ય બનશે. - હિરેન ગાંધી, જીસીસીઆઇ ફૂડ કમિટીના પૂર્વ પ્રમુખ

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:22 am

સિટી એન્કર:અમદાવાદ સહિત રાજ્યનાં 700 પોલીસ સ્ટેશન 160 IPSએ દત્તક લીધા, લોકો સાથેનો વ્યવહાર, પાણી, CCTV સહિતની સુવિધા પર નજર રાખશે

ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને હવે કોર્પોરેટ લુક મળશે. ડીજીપીથી માંડીને 160થી વધારે આઈપીએસ અધિકારીઓએ એક - એક પોલીસ સ્ટેશન દત્તક લીધા છે. અમદાવાદમાં 49 તેમજ ટ્રાફિકના 14 મળી કુલ 63 તેમજ રાજ્યમાં કુલ 700 પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશનમાં પાયાની સગવડો જેવી કે પાણી, ગટર, શૌચાલય, સીસીટીવી કેમેરા, લોકઅપ, ડસ્ટબીન જેવી તમામ સગવડોની જવાબદારી જે તે આઈપીએસ અધિકારીને સોંપાઈ છે. પોલીસનો લોકો સાથેનો વ્યવહાર તેમજ તમામ રેકોર્ડ, મુદ્દામાલ, પોલીસની સમસ્યા સહિતની તમામ બાબતોનું સીધું મોનિટરિંગ જે - તે આઈપીએસ અધિકારી કરશે. સીધી રીતે કહી એ તો અધિકારીઓ હવે ગુનેગારો ને જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનની સુવિધા પર પણ નજર રાખશે. પોલીસ સુધારણા વિભાગના અધિક પોલીસ મહાનિર્દેષક ખુરધીશ અહેમદે તમામ આઈપીએસ અધિકારીઓને એક - એક પોલીસ સ્ટેશન દત્તક લેવા માટે પરિપત્ર કર્યો હતો. ડીજીપી, 4 શહેરના પોલીસ કમિશનર, 9 રેન્જ ડીઆઈજી, 34 જિલ્લા ડીએસપી સહિત 160થી વધારે આઈપીએસ અધિકારીઓના નામ તેમજ તે અધિકારી કયુ પોલીસ સ્ટેશન દત્તક લઈ રહ્યા છે તેના નામ સાથેની યાદી તૈયાર કરીને 12 માર્ચે આપી દેવાઈ છે. 70 સુવિધાની યાદી અપાઈ, 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવો પડશેજે પણ આઈપીએસ અધિકારીઓને પોલીસ સ્ટેશન દત્તક લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને15 એપ્રિલ સુધીમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાં મળવા પાત્ર 70 સુવિધાઓ સાથેની યાદી આપવામાં આવી છે. તેમાંથી ત્યાં જે પણ સુવિધા ન હોય તે પૂરી કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશન દત્તક લીધા પછી પણ જો તે પોલીસ સ્ટેશનમાં સુવિધા પૂરી નહીં થાય તો તે માટે પોલીસ સ્ટેશન દત્તક લેનાર આઈપીએસ અધિકારીને જવાબદાર ઠેરાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:20 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય શરૂ; બંગાળમાં BJP-TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણ; હાર્દિક-ઈશાન સામે વડોદરા પોલીસ સ્ટેશનમાં અરજી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પુરવઠો ફરી શરૂ થવા અંગે છે. જ્યારે હોર્મુઝથી બે ભારતીય જહાજો ભારત જવા રવાના થઈ ચૂક્યા છે. બીજા સમાચાર પીએમ મોદીની રેલી પહેલા ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ અંગે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના આસામના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પાસેના કટિગોરા વિસ્તારના નતનપુર ગામની પણ મુલાકાત લેશે. કાલના મોટા સમાચારો 1. હોર્મુઝથી ભારતના બે જહાજો મુન્દ્રા અને કંડલા પોર્ટ પર પહોંચશે: 2-3 દિવસમાં ભારત આવશે; કુલ 92,700 ટન LPG લઈને ઈન્ડિયા આવી રહ્યા છે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 15મો દિવસ છે. આ દરમિયાન ખાડી દેશોમાંથી LPG લઈને આવી રહેલા ભારતના બે જહાજો હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયા છે. આ જહાજો હવે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા છે અને 16 અથવા 17 માર્ચ સુધીમાં ભારતીય બંદરો પર પહોંચી જવાની સંભાવના છે. શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાના જણાવ્યા મુજબ, ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર 'શિવાલિક' અને 'નંદા દેવી' શનિવારે સવારે સુરક્ષિત રીતે સ્ટ્રેટ પાર કરી ગયા હતા. આ બંને જહાજો કુલ 92,700 ટન LPG લઈને ભારત આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 5 દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ:સરકારે કહ્યું- ઉતાવળમાં બુકિંગ ન કરો; દિલ્હીની હોટલો-રેસ્ટોરન્ટ્સ કચરામાંથી ઉત્પાદિત ગેસનો ઉપયોગ કરે સરકારે પાંચ દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ ફરી શરૂ થઈ ગયું છે. સરકારે 9 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠા પર પ્રતિબંધ લાદ્યો હતો. બિહારમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લાકડા-કોલસાની માગ વધી ગઈ છે. રાજસ્થાનમાં હોટલ લાકડા પર રસોઈ બનાવી રહ્યા છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. ઘણી જગ્યાએ 2 હજારનો કોમર્શિયલ સિલિન્ડર 4 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કોલકાતામાં ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:મમતાના મંત્રીએ કહ્યું- મારા પર હુમલો કર્યો; PMએ કહ્યું- જંગલરાજવાળાનું કાઉન્ટડાઉન શરુ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પીએમ મોદીની રેલી પહેલા ભાજપ અને TMC કાર્યકરો વચ્ચે વિવાદ થયો છે. ગિરીશ પાર્ક વિસ્તારમાં બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો. પોલીસે ભીડને વિખેરી નાખી. પશ્ચિમ બંગાળના ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યમ મંત્રી શશિ પંજાએ આરોપ લગાવ્યો કે અથડામણ દરમિયાન મારા પર ઈંટથી હુમલો કરવામાં આવ્યો. ભાજપ ગુંડા નહીં પણ હત્યારો છે. કોલકાતામાં પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે જંગલરાજ કરનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ નિર્મમ સરકારનો અંત નજીક આવી ગયો છે. પીએમએ કહ્યું કે પહેલા કોંગ્રેસ, પછી કમ્યુનિસ્ટ અને હવે ટીએમસી, આ લોકો એક પછી એક આવતા રહ્યા અને પોતાના ખિસ્સા ભરતા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વર્લ્ડકપ ટ્રોફી લઈને સૂર્યા-ગંભીર સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા, VIDEO:અભિષેક શર્માએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા, કીર્તિ આઝાદે હનુમાન મંદિરે જવા પર સવાલ ઉઠાવ્યો હતો ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર શનિવારે T20 વર્લ્ડકપની ટ્રોફી સાથે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા. અહીં બંનેએ ભગવાન ગણેશના દર્શન કરીને ટીમની સફળતા માટે આશીર્વાદ લીધા. આ પહેલા 8 માર્ચે ચેમ્પિયન બન્યા બાદ તેમણે ટ્રોફી સાથે અમદાવાદના હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. ખેલાડીઓના મંદિર જવા પર પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ કીર્તિ આઝાદે સવાલ પણ ઉઠાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્મા પણ 13 માર્ચે જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત પ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા અને માતા રાણીના દર્શન કરીને આશીર્વાદ લીધા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કેન્દ્રએ સોનમ વાંગચુક પર લાગેલો NSA હટાવ્યો:જોધપુર જેલમાંથી 170 દિવસ પછી મુક્ત થશે; લેહ હિંસા પછી અટકાયતમાં લેવાયા હતા કેન્દ્રએ શનિવારે લદ્દાખના સામાજિક કાર્યકર અને એન્જિનિયર સોનમ વાંગચુક પર લાગુ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હટાવી દીધો. આ આદેશ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવશે. ગૃહ મંત્રાલય અનુસાર, સોનમે NSA એક્ટ હેઠળ પોતાની અટકાયતનો લગભગ અડધો સમય પૂરો કરી લીધો છે. લદ્દાખ પ્રશાસને 24 સપ્ટેમ્બર 2025ના રોજ લેહ હિંસા ભડકાવવાના આરોપમાં 26 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ વાંગચુકને અટકાયતમાં લીધા હતા. ત્યારથી તેઓ જોધપુર જેલમાં છે. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. લગભગ સાડા પાંચ મહિના થઈ ચૂક્યા છે. લગભગ 170 દિવસ પછી મુક્ત થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગેસની અછત બાદ હવે ઇન્ડક્શન-સગડીમાં વેઇટિંગ:રાજકોટમાં કોલસાની સગડીમાં 15 દિવસનું, સુરતમાં ઇન્ડક્શન લેવા 10નું વેઈટિંગ; અમદાવાદમાં L.D. કોલેજમાં ચૂલા સળગ્યા રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં L.D. એન્જિ.માં વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું':'સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યું', તિરંગાના અપમાન બદલ ફરિયાદ દાખલ કરવા વડોદરામાં અરજી વડોદરાના સામાજીક આગેવાન દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન અને સ્ટેડિયમમાં બિભત્સ વર્તન કરવા બદલ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને અમદાવાદ સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ બોલ્યા-DUમાં ઇન્ટરવ્યુથી વિદ્યાર્થીઓને બહાર કાઢે છે:દિલ્હી યુનિવર્સિટીએ કહ્યું- પહેલા હકીકત તપાસો, એડમિશન પ્રવેશ પરીક્ષાથી થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં જોરદાર બ્લાસ્ટ:યહૂદી સ્કૂલને નિશાન બનાવવામાં આવી, મેયરે કહ્યું- યહૂદી સમુદાયને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બેગુસરાયમાં CM નીતિશની સુરક્ષામાં ચૂક:હેલિપેડમાં બળદ ઘૂસ્યો, પોલીસકર્મીઓને દોડાવ્યા; બચવા માટે ફાયર બ્રિગેડ પર ચઢ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને ઇસ્લામાબાદમાં 2 વિસ્ફોટક ડ્રોન તોડી પાડ્યા:અફઘાનિસ્તાને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા; પહેલાં પાકિસ્તાને કાબુલ પર એરસ્ટ્રાઈક કરી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1 એપ્રિલથી ફાસ્ટેગ એન્યુઅલ પાસ મોંઘો થશે:₹3,000 ને બદલે ₹3,075 ચૂકવવા પડશે; 52 લાખથી વધુ યુઝર્સ પર અસર થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડકપ ટ્રોફી લઈને સૂર્યા-ગંભીર સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા: અભિષેક શર્માએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા, કીર્તિ આઝાદે હનુમાન મંદિરે જવા પર સવાલ ઉઠાવ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મીન સંક્રાંતિની તારીખ અંગે પંચાંગ ભેદ:14ની મધ્યરાત્રિએ સૂર્ય રાશિ બદલશે, 15 માર્ચની સવારે સૂર્યને અર્ઘ્ય ચઢાવીને દાન-પુણ્ય કરો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મચ્છર મારવાની અગરબત્તીથી વ્યક્તિ જીવતો સળગી ગયો જબલપુરના સિહોરામાં ટાટા સુમોની અંદર મચ્છર ભગાડવા માટે સળગાવવામાં આવેલી અગરબત્તીને કારણે ગાડીમાં સૂઈ રહેલો એક વ્યક્તિ જીવતો સળગી ગયો છે. આ વાહન ઘણું જૂનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. દરરોજ જુઓ આસારામ પર થ્રિલર વીડિયો સિરીઝ: 40 એપિસોડમાં એક બૂટલેગરમાંથી સંતની શેતાન બનવાની પૂરી કહાની 2. આજનું એક્સપ્લેનર: ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર કબજાની તૈયારી, બોમ્બમારા પછી 2,500 અમેરિકી કમાન્ડો પહોંચ્યા, શું ઓઈલ સપ્લાય 100% અટકી જશે? 3. ભાસ્કર એક્સક્લૂસિવ : જેમને કપડાં ઉતારીને ફેરવી, તે મણિપુરની યુવતીઓ ક્યાં ગઈ?: 3 વર્ષથી સુનાવણી ચાલુ, પીડિતાએ કહ્યું- જીવતી છું, પણ દુનિયા મને ભૂલી ગઈ 4. ભાસ્કર એક્સપ્લેનર : રોજ 75 લાખ સિલિન્ડરનું બુકિંગ, 50 લાખની ડિલિવરી:ભારત પાસે કેટલો રસોઈ ગેસ બાકી, સરકારે આગળ માટે શું વ્યવસ્થા કરી છે? 5. પારકી પંચાત : કુલપતિની ચેમ્બરમાં ડખો, સાહેબે ખૂણો પકડી લીધો:વિધાનસભા બહાર કોંગ્રેસનો ‘બાટલાફાડ’ વિરોધ; જીવાત નિકળી છાસમાં ને સેમ્પલ લીધા શાકના! ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મેષ-સિંહ રાશિ માટે ધનલાભના યોગ, કુંભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધ રહેવું! વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ ફ્યૂઅલ ચાર્જ રૂ.425 વધારતા એરફેર 20 ટકા વધ્યું

ઇઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઇન્ડિગો એરલાઇને ડોમેસ્ટિક રૂટ પર રૂ.425 ફ્યૂઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે અમદાવાદથી મુંબઈનું ભાડું હવે રૂ. 3010ને બદલે રૂ.3800 અને દિલ્હીનું ભાડું રૂ.3690ની જગ્યાએ રૂ.4700, બેંગલુરુનું ભાડું રૂ.4530થી રૂ.5300 થશે. જોકે વનવે ભાડામાં છેલ્લી ઘડીએ, તહેવારો કે રજાઓ વખતે વધારાની શક્યતા રહે છે. ડોમેસ્ટિક એર ટિકિટમાં ફ્યૂઅલ ચાર્જ એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ)ના વધતા-ઘટતા ભાવને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે. દરેક એરલાઇન પોતાની રીતે ફ્યૂઅલ ચાર્જ નક્કી કરે છે અને તેના કુલ ઓપરેશન ખર્ચમાં 40 ટકા ખર્ચ એટીએફ પર નિર્ભર હોય છે. સામાન્ય રીતે આ ચાર્જ એરલાઇનના બેઝ ફેરમાં સામેલ હોય છે, જેથી ટિકિટ ભાવ તારીખ પ્રમાણે બદલાય છે. વેકેશનમાં સિંગાપોર, બાલી, મલેશિયાનાં પેકેજ પણ મોંઘાંડોલરના ભાવમાં વધારો, ખાડી દેશોમાં તણાવ વચ્ચે ટ્રાવેલ એજન્ટોએ ફાર ઇસ્ટ ટૂર પેકેજમાં 13 હજાર સુધીનો વધારો કર્યો છે. સમર વેકેશનને ધ્યાનમાં રાખી હાલ અંદાજે પેકેજ ભાવ આ પ્રમાણે છે: આ રૂટનાં ભાડાં વધ્યાં અમદાવાદથી દરરોજ 146 ફ્લાઇટના 23 હજાર પેસેન્જર, દરરોજ રૂ.1 કરોડ વસૂલાશેઇન્ડિગો અમદાવાદથી દરરોજ ડિપાર્ચર-એરાઇવલ મળી લગભગ 146 નાનાં-મોટાં વિમાનોનું સંચાલન કરે છે. તેમાં 116 એરબસ A-320/321 શ્રેણીનાં વિમાનોનો સમાવેશ થાય છે. પ્રતિ વિમાન 180 સીટ પ્રમાણે કુલ 20,880 સીટ ઉપલબ્ધ છે. આ સીટો પર જો રૂ.425 ફ્યૂઅલ સરચાર્જ વસૂલવામાં આવે તો રોજ લગભગ રૂ.88.74 લાખ વસૂલાશે. ઉપરાંત અમદાવાદથી 30 ATR-72 નાના વિમાનોનું પણ સંચાલન થાય છે. પ્રતિ વિમાન 72 સીટ મુજબ કુલ 2,160 સીટ થાય છે. અહીંથી દરરોજ લગભગ રૂ.9.18 લાખ વસૂલાશે. આ રીતે તમામ ફ્લાઇટો ફુલ થાય તો પેસેન્જરોના ખિસ્સામાંથી પ્રતિદિન અંદાજે વધુ રૂ.1 કરોડ રૂએરલાઇન દ્વારા વસૂલાશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:59 am

સ્વાસ્થ્ય સાથે ચેડાં:બાકરોલ દૂધ મંડળીમાં 6 સભાસદોના દૂધમાં ભેળસેળ મળતાં લેવાનું બંધ કરાયું

આણંદના બાકરોલની દૂધ મંડળીમાં ભેળસેળીયુ દૂધ મળી આવતાં અમૂલ ડેરી દૂધ લેવાનું બંધ કરતાં 350 વધુ સભાસદો મુશ્કેલીમાં મુકાઇ છે. મંડળીમાં માત્ર 6 સભાસદોના દૂધમાં પાણી, અન્ય પદાર્થની ભેળસેળ 3200 લીટર દૂધ ઘરે પરત લઇ જવાનો વખત આવતાં પશુપાલન પર નિભતા પરિવારને એક દિવસની રોજી છીનવાઇ જતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદના બાકરોલ ગામની દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી દૂધમાં ભેળસેળ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેથી અમૂલ ડેરીને કવોલીટી એન્સોરેન્સ વિભાગની ટીમોએ બાકરોલ દૂધ મંડળી ભરવામાં આવતાં તમામ સભાસદો દૂધની ચકાસણી કરી હતી. જેમાં 6 જેટલા સભાસદોના દૂધમાં મિલાવટ જણાઇ આવી હતી.જેના કારણે ડેરીમાં આવેલા દૂધ ટાંકાનું તમામ દૂધ ભેળસેળ યુકત બની જતાં માનવ સ્વાસ્થાય માટે હાનિકારક હોવાથી તાત્કાલિક અમૂલ ડેરી બાકરોલ દૂધ મંડળીનું દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અમૂલની તપાસમાં માત્ર 6 સભાસદોના દૂધમાં ભેળસેળ હોવા છતા તમામ દૂધ બંધ કરાતાં સભાસદો છેલ્લી 2 ટકનું દૂધ ભરી ન શકતાં મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.જેને લઇને ભારે નારાજગી જોવા મળે છે. ભેળસેળિયુ દૂધ ભરતાં 6 સભાસદો દૂધ લેવાનું બંધ બાકરોલ દૂધ મંડળીના સેક્રેટરી સલીમભાઇ મલેકે જણાવે છે કે, અમૂલની ટેસ્ટીંગ વાન દ્વારા સેમ્પલ ચકાસણી થઈ તેમાં 6 ગ્રાહકોના સેમ્પલ જણાઈ આવ્યાં છે. સંઘના પરિપત્ર મુજબ જે સેમ્પલ અસામાન્ય જણાઈ આવ્યાં છે, તેની ઉપર કાર્યવાહી કરી, દંડની જોગવાઈ છે એ મુજબ તેમનું દૂધ બંધ કરવામાં આવ્યું છે. તેમજ મંડળીમાં ઠરાવ કરીને 6 સભાસદો સામે શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે.પુન: અમૂલે દૂધ લેવાનું નક્કી કરતાં ડેરી ચાલુ કરવામાં આવી છે. 6 સભાસદોના 800 લીટર ભેળસેળિયા દૂધથી ટેન્કનું 5 હજાર લીટર દૂધ ખરાબબાકરોલ દૂધ મંડળીમાં 6 જેટલા મોટા સભાસદો દ્વારા દૈનિક 800 લીટર દૂધ ભેળસેળિયુ ભરવામાં આવતું હતું. તેઓના દૂધના નમૂના પાણી સહિત અન્ય પ્રદાર્થની ભેળસેળ હોવાથી અસામાન્ય જાહેર કરાયું હતું. મંડળી 5 હજાર લીટર દૂધની ક્ષમતા ધરાવતી ટેન્કમાં આ 800 લીટર ભેળસેળિયુ દૂધ ભળતાં તમામ દૂધમાં ભેળસેળ થઇ જતાં માનવ સ્વાસ્થય માટે હાનિકારક હોવાનું નિષ્ણાંતો માનવું છે.ત્યારે 6 સભાસદાને કારણે 350 સભાસદોને હાલાકી ભોગ વખત આવે છે. ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ સૌ કોઇ ઇચ્છે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:57 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:9 સરકારી યુનિ.માં રજીસ્ટ્રારોની નિમણૂક વિવાદમાં: લાયકાત, અનુભવ મુદ્દે સવાલો

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં યુજીસીના નિયમોનું પાલન થતું નથી તેમ ખૂદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે. રજીસ્ટ્રારના ઇન્ટરવ્યૂ, લાયકાત, અનુભવ અને નિયમોના પાલન અંગે મોટા પ્રશ્નો ઉભા થયા છે. કેટલીક જગ્યાએ નાણાકીય ભ્રષ્ટાચાર, રાજકીય દબાણ, ડિગ્રી આપવામાં ગોટાળા, સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં અનિયમિતતા, ટેન્ડરિંગ પ્રક્રિયામાં ગોટાળા તેમજ ભરતી પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યા છે. 2023થી રાજ્યમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અમલમાં છે. 14 સરકારી યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ (ડિમ્ડ યુનિવર્સિટી) એક જ કાનૂની માળખામાં કાર્યરત થઈ છે. કુલપતિઓ પોતાના માનીતા વ્યક્તિઓને રજીસ્ટ્રાર બનાવી રહ્યાં છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રારની નિમણૂક સમયે “સારો નહીં, પણ મારો” જેવો ફોર્મ્યુલા અપનાવાય છે. કેટલાક કિસ્સાઓમાં રજીસ્ટ્રારો સામે તપાસ ચાલુ છે. આ તમામ આક્ષેપો અંગે સંબંધિત યુનિવર્સિટીઓ અથવા શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવા તૈયાર નથી. નિયમ મુજબ રજીસ્ટ્રાર માટે જરૂરી લાયકાતકોમન એક્ટ મુજબ રજીસ્ટ્રાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અને ઓછામાં ઓછા 55 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોવો જરૂરી છે. સાથે ઓછામાં ઓછો 15 વર્ષનો વહીવટી અનુભવ હોવો જોઈએ. આ અનુભવ યુનિવર્સિટી અથવા કોલેજમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર અથવા સમકક્ષ વહીવટી પદ પરનો હોઈ શકે છે અથવા સરકારી કે શૈક્ષણિક સંસ્થામાં વહીવટી અધિકારી તરીકેનો અનુભવ માન્ય ગણાય છે. રજીસ્ટ્રાર પાસે યુનિવર્સિટી વહીવટ, શૈક્ષણિક નિયમો અને કાનૂની પ્રક્રિયાની સમજ હોવી આવશ્યક છે. રજીસ્ટ્રારની નિમણૂક કુલપતિ કરે છે. આઠ સરકારી, એક ડિમ્ડ યુનિ.ના રજિસ્ટ્રાર સામેના આક્ષેપો રમેશદાન ગઢવી, રજીસ્ટ્રાર – વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરતઅગાઉ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ., ડૉ. બાબા સાહેબ ઓપન યુનિ. અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.માં રજીસ્ટ્રાર તરીકે ઉમેદવારી ગેરલાયક ઠેરવાયેલ હતા. હિમાંશુ પટેલ, રજીસ્ટ્રાર – ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશનમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ દરમિયાન થયેલા નાણાંકીય ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે ACBમાં ફરિયાદ નોંધાઈ. શિક્ષણ વિભાગની તપાસ બાદ તેમને IITEના રજીસ્ટ્રાર પદ પરથી દૂર કરાયા હતા. હાલ ACBની તપાસ ચાલુ છે. ખાસ કિસ્સામાં તેમને ગુજરાત વિદ્યાપીઠમાં રજીસ્ટ્રાર તરીકે પસંદ કરાયાની ચર્ચા છે. નિલેશ પંડ્યા, રજીસ્ટ્રાર – ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટીને વિનામુલ્યે મળેલી 30 એકર જમીન સરકારને પરત કરવાનો પ્રસ્તાવ મુકાતા PMO સુધી ફરિયાદ પહોંચ્યાની ચર્ચા છે. આ મુદ્દે તપાસ ચાલુ છે. આ કારણે રજીસ્ટ્રારે રાજીનામું આપ્યું છે, પણ વીસીએ સ્વિકાર્યું નથી. 2022માં ચૂંટણી આચારસંહિતા લાગુ હતી તે દરમિયાન ભરતી થયાનો આક્ષેપ. ભરતી કરનાર પૂર્વ રજીસ્ટ્રાર અમિત જાની સામે સરકારમાં તપાસ ચાલુ હોવાનું કહેવાય છે. ખોટી ભરતીના ભાગરૂપે તેમને તાત્કાલિક દૂર કરાયાનો આક્ષેપ. રજીસ્ટ્રાર પદ યથાવત રહે તે માટે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં વિવાદિત ઠરાવ પસાર કરાવ્યો હોવાનો આક્ષેપ. પદનો દૂરઉપયોગ કરી કર્મચારીને છૂટો કર્યાનો આક્ષેપ, કાર્યકાળ દરમિયાન ગેરરીતિ સંદર્ભે શિક્ષણ વિભાગની તપાસ ચાલુ. ધીરેન પંડ્યા, રજીસ્ટ્રાર – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ2015-16માં ઈતિહાસ ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી દરમિયાન ઈન્ટરવ્યૂ કમિટીના માર્ક્સમાં છેડછાડનો આક્ષેપ છે. મામલો કોર્ટમાં ગયો હતો. સાત વર્ષ બાદ આવેલા ચુકાદામાં શિક્ષણ વિભાગે સંડોવાયેલા તમામ સામે અને રજીસ્ટ્રાર સામે ફોજદારી ફરિયાદ નોંધવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. રમેશ પરમાર, રજીસ્ટ્રાર – ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ અજયસિંહ જાડેજા, રજીસ્ટ્રાર – ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દશરથ જાદવ, રજીસ્ટ્રાર – શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પીયૂષ પટેલ, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર – ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શિક્ષણમાં પવિત્રતા જળવાય તે જરૂરી, કસુરવારને બક્ષવામાં નહીં આવેશિક્ષણ વિભાગમાં પવિત્રતા જળવાય તે જરૂરી છે. જે કોઈ રજીસ્ટ્રારની તપાસ ચાલતી હશે તેમાં કસુરવાર ઠરશે તેને બક્ષવામાં નહીં આવે. માત્ર ફરિયાદ આવે એટલે કોઈને તરત જ દોષી ઠરાવવો તે પણ યોગ્ય નથી. કુદરતી ન્યાયના સિદ્ધાંતની તે વિરૂદ્ધ કહેવાય, પૂરતી તક આપ્યા બાદ પગલાં લેવાશે. શિક્ષણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સહન નહીં કરવા મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે. > ત્રિકમ છાંગા, શિક્ષણમંત્રી, રાજ્યકક્ષા

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:42 am

ભારતની મોટી ડિપ્લોમેટિક જીત:92,700 ટન LPG સાથે 2 જહાજ હોર્મુઝ પાર કરી કચ્છના કાંઠે પહોંચશે

પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ અને દરિયાઈ વેપાર પર મંડરાતા ગંભીર જોખમો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે વિદેશ મંત્રાલયે અત્યંત મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોના પરિણામે, કુલ 92,700 મેટ્રિક ટન LPG (રાંધણ ગેસ) ભરેલા બે વિશાળ ભારતીય જહાજો - ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ - વિશ્વના સૌથી જોખમી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી કોઈપણ અડચણ વિના સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. આ બંને જહાજો હવે કચ્છના મુન્દ્રા અને કંડલા બંદર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, “સંઘર્ષની શરૂઆતથી જ ભારતે તણાવ ઘટાડવા અને સંવાદ દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. વસ્તુઓ અને ઊર્જાની નિર્બાધ અવરજવર સુનિશ્ચિત કરવી એ ભારતની પ્રાથમિકતા છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ખાડી દેશો, ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ સહિતના તમામ પ્રમુખ પક્ષો સાથે રાજકીય અને કૂટનીતિક સ્તરે સતત સંપર્કમાં છે. 16-17 માર્ચે બંને જહાજ મુન્દ્રા, કંડલામાં લાંગરશેલેટેસ્ટ મરીન ટ્રેકિંગ ડેટા અને રિપોર્ટ્સ અનુસાર જહાજ ‘શિવાલિક’ 7 માર્ચે કતારથી નીકળ્યું હતું. 16 માર્ચે સવારે મુન્દ્રા પહોંચે તેવી સંભાવના છે. આ સાથે જહાજ ‘નંદા દેવી’ 1 માર્ચે રવાના થયેલું આ જહાજ હાલ ઓમાન-પાકિસ્તાન કોસ્ટ નજીકથી પસાર થઈ રહ્યું છે અને 17 માર્ચે રાત્રે કંડલાના દીનદયાળ પોર્ટ પહોંચશે.જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે. જેથી તે મુન્દ્રા અને કંડલા બંદરે આગામી દિવસોમાં લાંગરશે. કંડલા અને મુન્દ્રા બંદરોએ તૈયારીઓ શરૂ કરીકચ્છના દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પોર્ટ મુન્દ્રા દ્વારા આ બંને જહાજોના આગમનને લઈને તમામ લોજિસ્ટિક તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જહાજ લાંગરતાની સાથે જ ગેસનો જથ્થો સુરક્ષિત રીતે ઓફલોડ કરી તેને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઇન્ડિયન નેવી એક્શન મોડમાંલેટેસ્ટ સેટેલાઇટ ટ્રેકિંગ અને સત્તાવાર અપડેટ અનુસાર ભારતીય નૌકાદળના 3 યુદ્ધજહાજો ગલ્ફ ઓફ ઓમાનમાં પહોંચી ગયા છે. મુન્દ્રા આવી રહેલા LPG ટેન્કર ‘શિવાલિક’ ને હાલમાં ઇન્ડિયન નેવીના આ યુદ્ધજહાજો દ્વારા કડક સુરક્ષા વચ્ચે એસ્કોર્ટ કરવામાં આવી રહ્યું છે. કંડલા આવી રહેલું બીજું ભારતીય જહાજ ‘નંદા દેવી’ પણ ગલ્ફ ઓફ ઓમાનથી પોતાનો માર્ગ બદલીને નૌકાદળના આ સુરક્ષા કાફલામાં જોડાવા માટે આગળ વધી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:32 am

લાકડી વડે કરાયો હુમલો:એક્ટિવા પર બેસવાની ના પાડતાં ખેડૂતને લાકડી મારી

​પાટણ તાલુકાના હાજીપુર ગામની સીમમાં આવેલ મેલડી માતાના મંદિર નજીક બપોરના સમયે આધેડ ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હાજીપૂર ગામના ખેડૂત અમથાભાઈ પોતાની એક્ટિવા લઈને ખેતરે બોર ચાલુ કરવા જઈ રહ્યા હતા.આ દરમિયાન રસ્તામાં મળેલા ગામના જ નારણજી ઠાકોરને તેમણે એક્ટિવા પર બેસવા માટે પૂછ્યું હતું.પરંતુ આરોપીએ બેસવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે ફરિયાદી ત્યાંથી નીકળવા લાગ્યા, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ હાથમાં રહેલી લાકડી વડે ફરિયાદીના માથાના જમણી ભાગે જોરથી ફટકો માર્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:24 am

લૂંટેરી દુલ્હન ગેંગ સામે 5મી ફરિયાદ:હિંમતનગરના‎રામપુર જાંબુડી ગામના યુવક પાસેથી 4 લાખ ખંખેર્યા‎

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગ સામે 5મી ફરિયાદ નોંધાઇ છે. હિંમતનગરના રામપુર (ગોર) ગામે રહેતા 35 વર્ષીય યુવકને લગ્નની લાલચ આપી 4 લાખ પડાવી લગ્નના ચાર મહિનામાં પડોશમાં બેસીને આવું છું કહી રાત્રે દસેક વાગ્યે ફરાર થઇ ગઈ હતી. આ બાદ હિંમતનગરમાં દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતી ઠગ ટોળકીનો સંપર્ક કરતાં પહેલા પાછી લાવી આપીશું કહી સમય પસાર કર્યા બાદ 4 લાખ પરત માંગતા પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકી આપતાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આ ટોળકીએ સુવ્યવસ્થિત કાવતરું રચી યુવક સાથે ખોટા લગ્ન કરાવી કુલ 4 લાખની ઠગાઇ આચરી હોવા અંગે પાંચ જણા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. રામપુર જાંબુડી ગામના ઉમેશભાઈ અમરતભાઈ પટેલ (35) ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે ચાર માસ અગાઉ કાંકણોલની સેજલબેન પંચાલ નામની મહિલાએ તેમને ફોન કરી લગ્ન માટે એક છોકરી હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. સેજલબેને સવિતા સુનિલ ભીવનકર નામની યુવતીનો આધારકાર્ડ ફોટો મોકલ્યો હતો. જે ઉમેશભાઈને પસંદ પડતાં તેઓ હિંમતનગરમાં કવિતાબેન સોનીના ઘરે યુવતીને જોવા ગયા હતા. લગ્ન નક્કી કરવાના બદલામાં આ ટોળકીએ ઉમેશભાઈ પાસે 4 લાખની માંગણી કરી હતી. ઉમેશભાઈના ભાઈ અનિલે યુવતી અન્ય જ્ઞાતિની હોવાથી શંકા વ્યક્ત કરી હતી. પરંતુ દલાલ કવિતાબેન અને તેમના પતિ મનોજભાઈ સોનીએ લગ્નની સંપૂર્ણ જવાબદારી લેવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. ગત તા. 12-10-25 ના રોજ સામાજિક આગેવાનોની હાજરીમાં ફૂલહાર પહેરાવી લગ્ન સંપન્ન થયા હતા અને તે જ દિવસે નક્કી થયા મુજબની રકમ ચૂકવી દેવાઇ હતી. જોકે, લગ્નના માત્ર ચારેક મહિનામાં તા. 18-02-26 ના રોજ રાત્રિના દસેક વાગ્યે પત્ની સવિતા બાજુમાં બેસવા જાઉં છું તેમ કહીને ઘર છોડી જતી રહી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કવિતાબેનનો પુત્ર પ્રણવ ગાડી લઈને આવ્યો હતો અને સવિતાને બેસાડીને લઈ ગયો હતો. ઉમેશભાઈએ આ અંગે ટોળકીનો સંપર્ક કર્યો ત્યારે અમે પાછી લાવી આપીશું કહી હૈયાધારણાં આપ્યા બાદ થોડા સમય પછી આરોપીઓએ તેમને જ પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી અને નાણાં પરત કરવાનો ઇનકાર કર્યો હતો. અંતે કંટાળીને ઉમેશભાઈએ સેજલબેન પંચાલ, કવિતાબેન સોની, મનોજભાઈ સોની, પ્રણવ સોની અને સવિતા ભીવનકર વિરુદ્ધ ગાંભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીએનએસની કલમ 316(2), 61(2) અને 54 હેઠળ ગુનો નોંધ્યો હતો. 8 જણાં સાથે કુલ 28.52 લાખની છેતરપિંડીની પાંચ ફરિયાદો નોંધાઇપોલીસની પ્રાથમિક તપાસ અને ફરિયાદની વિગતો મુજબ, આ જૂથ સંગઠિત રીતે લગ્ન વાંચ્છુક પુરુષોને નિશાન બનાવે છે. સેજલબેન અને કવિતાબેન જેવા એજન્ટો કુંવારા યુવકોનો સંપર્ક કરી વિશ્વાસમાં લઈ આ ટોળકી સમાન મોડસ ઓપરેન્ડીથી અત્યાર સુધીમાં નોંધાયેલ 5 ફરિયાદમાં રૂ. 28.50 લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. આ ટોળકી નિર્દોષ લોકોના બોગસ લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવી ચૂકી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ટોળકી નકલી આધારકાર્ડ અને ખોટા દસ્તાવેજો બનાવીને યુવકોના પરિવારને વિશ્વાસમાં લેતી હતી. હાલ હિંમતનગર પોલીસ અન્ય જિલ્લાની પોલીસ સાથે સંકલન સાધીને આ રેકેટમાં જોડાયેલા અન્ય એજન્ટ લૂંટરી દુલ્હનોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં હિંમતનગર એ અને બી ડિવિઝન પોલીસમાં 2, ગાંભોઇ પોલીસમાં 1, મહેસાણાના વડનગર પોલીસમાં 1 અને એક તલોદ પોલીસ સ્ટેશનમાં મળી કુલ 5 ફરિયાદ નોંધાઇ છે. દુલ્હનોને ભાગવામાં મદદ કરવા દીકરાને જોતર્યો, ઊંઢાઇ દીકરીના પણ લગ્ન કરાવી નાણાં સેરવ્યા..ગાંભોઈ ખાતે નોંધાયેલ ફરિયાદમાં પણ હિંમતનગરના મેરેજ બ્યુરો સંચાલક દંપતીનો પુત્ર પ્રણવ મનોજભાઈ સોની ગાડીમાં બેસાડીને સેજલ નામધારી યુવતીને લઈ ગયો હતો. વડનગરના ઊંઢાઈ ખાતે પરણાવેલ મનોજભાઈની દીકરી કોમલ પણ થોડો સમય સાસરીમાં રહ્યા બાદ પરત આવી ગઈ હતી અને પૈસા પરત ન આપી તેના પરિવારે ધમકીઓ આપી હતી. આમની સામે ફરિયાદ:સેજલબેન મહેશભાઈ પંચાલ (એજન્ટ-કાંકરોલ) કવિતાબેન મનોજભાઈ સોની (બ્યુરો સંચાલક - હિંમતનગર)મનોજભાઈ બાબુલાલ સોની (બ્યુરો સંચાલક - હિંમતનગર) પ્રણવ મનોજભાઈ સોની (બ્યુરો સંચાલકનો પુત્ર) સવિતા સુનિલ ભીવનકર (લૂંટેરી દુલ્હન) કુલ 18 ની ગેંગ, હજુ વધુ નામ ખૂલવાની વકી :

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:18 am

લોક અદાલત:સાબરકાંઠા લોક અદાલતમાં 11263 કેસોનો નિકાલ કરાયો

સાબરકાંઠા જિલ્લામાં વિવિધ અદાલતોમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 11,263 કેસોનો નિકાલ કરાયો હતો. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કે.આર. રબારી અને સચિવ સી.પી. ચારણના વડપણ હેઠળ યોજાયેલી આ કામગીરીમાં અકસ્માત વળતરથી લઈ ટ્રાફિક ચલણ સુધીના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવ્યું હતું. મોટર અકસ્માતના 53 કેસોમાં પક્ષકારોને 3,67,85,000 નું વળતર અપાવવાના આદેશો કરાયા હતા. જિલ્લાની મેજિસ્ટ્રેટ કોર્ટોમાં વર્ષોથી ચાલતા 7,218 કેસોમાં સમાધાન થતાં રૂ. 20,73,53,590 ની રકમની પતાવટ થઈ હતી. કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાના તબક્કે જ બેંક લેણાં, વીજ બિલ અને ટ્રાફિક ઈ-ચલણ જેવા 4,045 કેસોમાં રૂ. 1,33,28,174.65 ની રકમનું નિરાકરણ લવાયું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:11 am

વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં ગરમીનો પારો સવા ડિગ્રી ઘટ્યો

ઉત્તર ગુજરાતમાં અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે શનિવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે પશ્ચિમ દિશાથી સરેરાશ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 20 થી 50 ટકાની વચ્ચે નોંધાયું હતું. ભેજ વધતાં દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાનમાં લગભગ એક ડિગ્રીનો વધારો નોંધાતા ઠંડીનો પારો 21 થી 21.5 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો, જેના કારણે ઠંડીનું જોર સામાન્ય ઘટ્યું હતું. બીજી તરફ ભેજના કારણે મહત્તમ તાપમાનમાં આશરે સવા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 37.5 થી 37.8 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. 38 ડિગ્રીથી નીચે તાપમાન રહેતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:08 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મોટાભાગના ચા અને નાસ્તાની લારીઓ વાળા ઘરેલું સિલિન્ડર વાપરવા મજબૂર

ઇરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધના કારણે ભારત સહિત ગુજરાતમાં એલપીજીની અછત વર્તાઇ રહી છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે નાના વેપારીઓ અને સામાન્ય જનતાની હાલત કફોડી બની છે. કોમર્શિયલ સિલિન્ડરના અભાવે નાના ધંધાર્થીઓ હવે મજબૂરીવશ ઘરેલું ગેસનો વપરાશ કરવા પ્રેરાયા છે. અગાઉ જે વેપારીઓ આખો દિવસ ગેસ ચાલુ રાખતા હતા. તેઓ હવે ચા બનાવીને સીધી ગરમ કિટલી (થર્મોસ)માં ભરી લે છે. ગેસની એવી તંગી છે કે થર્મોસમાં ચા પૂરી થઇ ગયા બાદ જો કોઈ એક જ ગ્રાહક ચા પીવા આવે તો વેપારી ચા બનાવવાની ના પાડી દે છે. અશ્વિનભાઈ ભીલનું કહેવું છે કે જ્યાં સુધી ઘરેલું ગેસની વ્યવસ્થા છે ત્યાં સુધી ધંધો ચાલશે. બોટલ બુક કરાવવા 2 થી 3 કલાક પ્રયત્ન કરવો પડે છે એક જ સિલિન્ડરથી ધંધો‎પણ ચલાવું છું અને ઘર પણ‎દિલીપભાઈ નામના વેપારીએ‎જણાવ્યું કે તેઓ ઘરનો ગેસનો‎બાટલો વાપરે છે તેથી લારી‎વહેલી બંધ કરવી પડે છે. કારણ કે‎આ જ સિલિન્ડર ઘરે લઈ જઈને‎રાતનું જમવાનું બનાવવાનું હોય‎છે. આ ઉપરાંત બપોરનું જમવાનું‎પણ વહેલી સવારે બનાવી લેવું‎પડે છે. જેથી સવારે ધંધાના સમયે‎લારી ખોલી શકાય.‎

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:05 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જવાહર રોડની હાલત બગડી, 15 દી'થી ખોદીને મુકી દીધો, મંદિરના ભક્તો, છાત્રો અને સ્થાનિકો પરેશાન

શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા જવાહર રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી છે. આ માર્ગ ખોદી નાખવામાં આવતા હાલ અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે. ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે યુથ કોંગ્રેસના પ્રમુખ મિહિર મહેતા અને સ્થાનિક ભાઈ-બહેનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં 'વચન નહીં હવે કામ જોઈએ' અને 'જાગો કોર્પોરેટર જાગો' જેવા લખાણવાળા પોસ્ટરો સાથે મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ખોદકામ વહેલી તકે પૂર્ણ કરી નવો રોડ તાત્કાલિક બનાવવામાં આવે, જેથી વિસ્તારના લોકોને નર્ક જેવી સ્થિતિમાંથી મુક્તિ મળે. એમ.જી રોડ : વેપારીઓ સવારે દુકાનો ખોલવા આવ્યા ત્યારે રોડ ખોદાયેલો હતો‎ ​શહેરના મુખ્ય વેપારી વિસ્તાર ગણાતા એમ.જી. રોડ પર તંત્ર દ્વારા પૂર્વ જાણ વગર રાતોરાત રોડનું ખોદકામ કરી નાખતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સવારે વેપારીઓ જ્યારે ધંધા-રોજગાર માટે પહોંચ્યા ત્યારે રસ્તો ખોદાયેલો હોવાથી ગ્રાહકોને આવવા-જવામાં અને વાહન પાર્કિંગમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. પૂર્વ આયોજન વગરના કામને લીધે વેપારીઓના ધંધા પર માઠી અસર પડી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

સોશિયલ મીડિયા પોસ્ટથી સ્થાનિક રાજકારણ ગરમાયું:ભાજપના નગરસેવિકાના પતિએ લખ્યું, કોઈના ઘરે જાઓ તો પૂછજો કે, ગેસનો બાટલો છે ?

જૂનાગઢ મનપાના પૂર્વ સિનિયર કોર્પોરેટર અને ભાજપના નેતા હસમુખ ખેરાડાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી અત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કારણ કે, યુદ્ધની સ્થિતિ વચ્ચે જ્યારે ગેસના બાટલાની અછતનો ડર ફેલાયો છે અને સરકાર પોતે આવી કોઈ શોર્ટેજ ન હોવાનો દાવો કરી રહી છે ત્યારે જૂનાગઢમાં ભાજપના પૂર્વ નગર સેવક અને વર્તમાન નગરસેવિકાના પતિ હસમુખ ખેરાડાએ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી છે કે, જો કોઈના ઘરે મહેમાન બનીને જાઓ, તો પહેલા એમને પૂછજો કે ગેસનો બાટલો છે ? આ વાત પાછળનો કટાક્ષ સ્પષ્ટ છે કે, જે રીતે મોંઘવારી અને અછતનું ''પેનિક'' સર્જાયું છે, તેમાં હવે મહેમાન આવતા હોય તો યજમાનને આનંદને બદલે ગેસ ખલાસ થઈ જવાની ચિંતા પહેલા થાય છે. એક તરફ ભાજપ સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રી ગાઈ-વગાડીને કહી રહ્યા છે કે ગુજરાતમાં કોઈ પણ ચીજવસ્તુની અછત નથી અને બધું જ નિયંત્રણમાં છે, ત્યારે ભાજપના જ બે ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા નેતાની આ પોસ્ટ સરકારના દાવાઓની હવા કાઢી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

દેશી દારૂ ઝડપાયો:મકાનમાંથી 96 હજારનો દેશી દારૂ જપ્ત

પંચેશ્વર વિસ્તારમાં રહેતો અમરા સાજણ કોડીયાતર નામનો શખ્સ મેઘાણીનગર પાસે, બધેશ્વર મહાદેવ મંદિરના પાણીના ટાંકાની સામે આવેલા એક પડતર મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે શુક્રવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પડતર મકાનના રૂમમાંથી પ્લાસ્ટિકના 16 બાચકાઓમાંથી દેશી દારૂના 96 બુંગીયા મળી આવ્યા હતા. આરોપી અમરા સાજણ કોડીયાતર સ્થળ પર હાજર મળી ન આવતા રૂપિયા 96,000નો 480 લિટર દેશી દારૂ કબજે લઈ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

વિદેશી દારૂ ઝડપાયો:ઝાડી-ઝાં ખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર

બીલખાના નવા પીપળીયામાં રેઇડ પાડી પોલીસે ઝાડી-ઝાંખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ રૂપિયા 9,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બુટલેગર ફરાર થઇ જતાં તપાસ હાથ ધરી હતી. બીલખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બીલખા નજીકના નવા પીપળીયા ગામે રહેતો સંજય શાર્દુલભાઈ લાલુ પોતાના રહેણાંક મકાનની સામે આવેલા અવાવરુ ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે. બાતમીવાળી જગ્યાએ પોલીસે દરોડો પાડતા, બોરડીના ઝાડ નીચે સંતાડેલા બે પૂંઠાની પેટી મળી આવી હતી. આવ્યા હતા. ​તપાસ દરમિયાન આ પેટીઓમાંથી ઇંગ્લિશ દારૂના 96 ચપટા હાથ લાગ્યા હતા. જોકે, દરોડા દરમિયાન આરોપી સંજય શાર્દુલભાઈ લાલુ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

હુમલાની ઘટના આવી સામે:સરદારપરામાં થાર લઈને આવેલી મહિલાએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો

શહેરના સરદારપરા વિસ્તારમાં અગાઉની માથાકૂટના મનદુઃખથી થાર લઈને આવેલી મહિલાએ વેપારીના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો અને ધમકી પણ આપી હતી. સરદારપરા મેઇન રોડ પ્રફુલ ચોક પાસે રહેતા 50 વર્ષીય વેપારી જયદિપસિંહ કરણસિંહ સરવૈયાના પુત્ર દિગ્વિજયસિંહને બે દિવસ પહેલા દેવલબેન પ્રવિણભાઈ કાચાના ભાઈ જયરાજ સાથે બોલાચાલી થઈ હતી. જે તે સમયે વડીલોએ મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું, પરંતુ દેવલબેને આ બાબતનું મનદુઃખ રાખ્યું હતું. શુક્રવારે રાત્રે દેવલબેન પોતાની લાલ રંગની જીજે 06 પીઇ 8154 નંબરની થાર ગાડી લઈને જયદિપસિંહના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોરજોરથી રાડો પાડી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે વેપારીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ ઉશ્કેરાઈને ફોન પર અન્ય લોકોને બોલાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ જબરજસ્તીથી ઘરમાં ઘૂસી જઈ જયદિપસિંહના પત્ની ધર્મિષ્ઠાબા પર હુમલો કરી ઝપાઝપી કરી હતી. એટલું જ નહિ મહિલાએ વેપારી અને તેમના ભાઈ હરપાલસિંહને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હંગામા દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ જતાં અને પોલીસ હેલ્પલાઇન 112 પર જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મહિલા તથા વેપારી વગેરેને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે જયદિપસિંહ કરણસિંહ સરવૈયાની ફરિયાદ લઈ મહિલા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:દરેક જિલ્લાને 36,000 લિટર કેરોસીન ફાળવાયું, કલેક્ટરો જરૂરિયાત પ્રમાણે મંગાવી વિતરણ કરાશે

અમેરિકા ઇઝરાઇલ અને ઈરાન યુદ્ધની સ્થિતિને લઈ રાજ્યમાં LPGના પુરવઠા સામે વધતી માંગને પહોંચી વળવા સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં વર્ષોથી રેશનિંગમાં બંધ કરાયેલા કેરોસીનનું વિતરણ ફરી શરૂ કરી ગ્રામીણ વિસ્તારોમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુજરાતને વધારાનો 1452 KL કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જેમાં રાજ્યના દરેક જિલ્લાને કલેક્ટર હસ્તક ગ્રામ્ય વિસ્તારો માટે 36,000 લીટર (36 KL) કેરોસીન ફાળવવામાં આવ્યું છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશ માટે કરવાનો રહેશે. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓના પરિવારો, શાળાની હોસ્ટેલો, મધ્યાહ્ન ભોજન અને વૃદ્ધાશ્રમોને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થાને 25 લિટર મળશે નવી માર્ગદર્શિકા મુજબ, કલેક્ટરો દ્વારા જરૂરિયાત મુજબ આ જથ્થો મંગાવી શકશે. જેમાં સામાન્ય પરિવાર દીઠ 5 લીટર અને સેવાકીય સંસ્થાઓને 25 લીટર સુધી કેરોસીન મળી શકશે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં PNG નેટવર્ક મજબૂત હોવાથી ત્યાં કોમર્શિયલ અને ઘરેલું વપરાશકારોને PNG કનેક્શન પર ભાર મૂકવા જણાવ્યું છે. ઇંધણની અછત દૂર કરવા માંગ પ્રમાણે કેરોસીન મંગાવી વિતરણ કરાશે‎પ્રશ્ન: અંતરિયાળ ગામડાના લોકો માટે જ‎આ વ્યવસ્થા છે?‎જવાબ: હા, જે લોકો પાસે સગવડતા નથી‎તેમની માટે વ્યવસ્થા છે.‎ પ્રશ્ન: ક્યારથી કેરોસીનનું વિતરણ શરૂ‎થશે?‎જવાબ: ગ્રામીણ વિસ્તારમાં કેરોસીનની‎જરૂરિયાત છે તેવી માગણી આવશે તો અમે‎ગાડી મંગાવીશું.‎ પ્રશ્ન: જિલ્લાને કેટલા લીટર કેરોસીન‎મળશે?જવાબ: જરૂરિયાત પ્રમાણે મળશે તેમાં‎કોઈ લિમિટ નથી.1200 લીટર નું ટેન્કર‎આવે છે. તેટલી માગણી આવે તે પ્રમાણે‎ઓર્ડર આપીશું.‎‎ પ્રશ્ન :સરકારે કેરોસીન ફાળવી દીધું છે?જવાબ: હા, સરકારે કેરોસીન ફાળવી દીધું‎છે.‎‎ પ્રશ્ન: કેરોસીન નો જથ્થો જિલ્લાને મળી‎ગયો છે?જવાબ: કેરોસીન ની હજુ આપણી પાસે‎માગણી આવી નથી જથ્થો મંગાવીશું પછી‎આપણને મળશે.‎‎ પ્રશ્ન:વિતરણ માટે ની કઈ રીતે વ્યવસ્થા‎કરવામાં આવશે?‎જવાબ: જે લોકો પાસે સ્ટોરેજની વ્યવસ્થા‎હશે એટલે કે જેની પાસે 200 લીટર‎સ્ટોરેજના પીપ હશે તે લોકોને પ્રથમ‎પ્રાથમિકતા આપીશું પરંતુ સગવડતાની‎સાથે તેમના ભૂતકાળની હિસ્ટ્રી જોઈને‎નિર્ણય લેવાશે.‎

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કોમર્શિયલ ગેસના બાટલાના અભાવે પોરબંદરમાં 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થયા

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુધ્ધને પગલે ગેસની અછત સર્જાતા પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલા મળતા બંધ થવાને કારણે 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થયા છે બાકીના 22 રેસ્ટોરન્ટ પાસે દોઢ થી 2 દિવસ ચાલે તેટલો ગેસ છે, જ્યારે 12 જેટલી ખાણીપીણીની લારીઓ બંધ થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધને પગલે એલપીજી ગેસની કટોકટી પોરબંદરમાં વર્તાઈ છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક ન હોવાને કારણે રેસ્ટોરન્ટ ધારકો અને ખાણીપીણીના લારી ધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધંધાઓ ચોપટ થઈ રહ્યા છે. ધંધાર્થીઓ પાસે હવે કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક પણ ન હોવાને કારણે રજા રાખવી પડે તેવી સ્થિતિ સર્જાણી છે. તેવા સંજોગોમાં હાલ પોરબંદરના 25 ટકા રેસ્ટોરન્ટ કોમર્શિયલ ગેસના બાટલા ન હોવાથી બંધ કર્યા છે. અને જે 22 રેસ્ટોરન્ટ ખુલ્લા છે તે રેસ્ટોરન્ટ પણ ગેસના બાટલાનો સ્ટોક ન હોવાથી દોઢ થી બે દિવસમાં બંધ થવાની કગાર પર ઉભા છે. રેસ્ટોરન્ટના સંચાલકે જણાવ્યું હતુ કે, હવે શનિવારે એક જ બાટલો હોવાથી સાંજે રેસ્ટોરન્ટ ખુલશે નહીં તેવી સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે ખાણીપીણીના લારી ધારકો પાસે પણ કોમર્શિયલ ગેસનો બાટલો પૂરો થતા 12 જેટલી લારી બંધ કરી છે. લારી ધારકોએ જણાવ્યું હતુ કે ગેસનો બાટલો ખાલી થતા ફરજિયાત પણે લારી બંધ કરી દેવાનો વારો આવ્યો છે. કોમર્શિયલ ગેસની અછતના કારણે ખાણીપીણીના લારી ધારકો અને રેસ્ટોરન્ટ ધારકો ચિંતિત બન્યા છે. રેસ્ટોરન્ટ ધારકોએ જણાવ્યું હતુ કે, કેટલાક રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ અને ગુજરાતી વાનગી બંધ કરી દેવામાં આવી છે તો લારી ધારકો પણ પોતાની લારીમાં ખાણીપીણીની આઇટમ અને જથ્થો ઘટાડી દેવામાં આવ્યો છે. બાટલા લખાવ્યા હોવાથી આવે ત્યારે રેસ્ટોરન્ટ ચાલુ કરી દેવાશે પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાની કટોકટી સર્જાતા હાલ 8 જેટલા રેસ્ટોરન્ટ બંધ કર્યા છે અને જે રેસ્ટોરન્ટ ખાતે બાટલા છે તે પૂરા થશે ત્યારે બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે રેસ્ટોરન્ટમાં બાટલાના કનેક્શન વધુ આપેલા હોય છે. કટોકટી સર્જાતા ધારકોએ બાટલા લખાવ્યા છે જેથી બાટલા આવશે ત્યારે રેસ્ટોરન્ટ તાકીદે શરૂ કરી દેવામાં આવશે તેવું રેસ્ટોરન્ટના ધારકોએ જણાવ્યું હતું. એકટાણું શરૂ કરશે‎પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક પૂરો‎થતા કેટલાક રેસ્ટોરન્ટ ખાતે હયાત સ્થિતિને પગલે‎બપોરે રેસ્ટોરન્ટ ચાલુ અને રાત્રે બંધ રાખવામાં‎આવે તે પ્રકારે એકટાણું રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં‎આવશે તેવું રેસ્ટોરન્ટના ધારકોએ જણાવ્યું છે.‎

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સરકારે ગામડા અને શહેરની વચ્ચે ભેદ પાડી દીધો,‎બાટલાનું બુકીંગ શહેરમાં 25, ગ્રામ્યમાં 45 દિવસે !‎

પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડર અછત જોવા મળી રહી છે તો ઓનલાઈન પણ બુકિંગ થતું નથી તેવામાં જ બગવદર ગામે ગેસની એજન્સીએ 45 દિવસે બાટલાનું બુકિંગ થશે તેવા બોર્ડ લગાવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં 25 દિવસે અને ગામડામાં 45 દિવસે બુકિંગ થશે તેવુ અલગ અલગ નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા એક ને ગોળ અને એક ને ખોળ તેવો ઘાટ ઘડાયો છે.જેને લઈને ગ્રામ્ય પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાડી દેશમાં યુદ્ધની સ્થિતિને લઈને પોરબંદર શહેરમાં છેલ્લા 4 દિવસથી ગેસના સિલિન્ડરની અછત ઉભી થઇ છે જિલ્લામાં ગેસના સિલિન્ડર ઓનલાઈન બુકિંગ થતા નથી તો ઓફલાઇન એજન્સી દ્વારા બુકિંગ કરવામાં આવતા નથી જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગેસના સિલિન્ડર અછતને દૂર કરવા માટે હવે સરકાર દ્વારા બેવડી નીતિ પણ અપનાવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ શુકવારે બપોર બાદ ઘરેલુ ગેસના સિલિન્ડરના બુકિંગના નિયમોમાં એકાએક સરકાર દ્વારા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. જે નિયમો અનુસાર હવે શહેરમાં ઘરેલુ ગેસના સિલિન્ડરના બુકિંગ 25 દિવસે થશે તો ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારને ઘરેલુ ગેસના સિલિન્ડરનું બુકિંગ 45 દિવસે કરવામાં આવ્યું છે. જેથી પોરબંદરના બરડા પંથકનું પાટનગર ગણવામાં આવતું અને બરડા પંથકના મોટાભાગના ગામોના લોકો ખરીદી કરવા આવતા એવા બગવદર ગામમાં ગેસની એજન્સીએ 45 દિવસે બાટલાનું બુકિંગ થશે તેવા બોર્ડ લગાવી દેવામાં આવતા બરડા પંથકના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે સરકાર દ્વારા શહેરીજનોને ગોળ અને ગ્રામ્ય પંથકમાં ખોળ જેવી સ્થિતિ સર્જાઇ છે જેને લઈને ગ્રામ્યજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.જોકે શહેરમાં 25 દિવસે અને ગામડામાં 45 દિવસે બુકિંગ થશે તેવું અલગ અલગ નિયમ સરકારમાંથી આવ્યાનું પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. દરેક રસોડામાં ગેસ સરખો જ જોઈએ તો આવો નિયમ કેમ?‎ભારતમાં આવેલ શહેર અને ગામડામાં રહેતા પરિવારોના રસોડામાં એક સરખો જ ગેસનો સિલિન્ડર આવે છે અને શહેર અને ગામડે રહેતા પરિવારને ગેસનો વપરાશ પણ એકસરખો જ હોય છે તો શહેર અને ગામડામાં રહેતા પરિવારોને ગેસ વિતરણનો નિયમ એક અલગ અલગ કરાયો છે.> દિલીપભાઈ મોઢવાડિયા,ગ્રામજનો અલગ અલગ નિયમ કરી ગામડે રહેતા પરિવારોનું અપમાન કર્યું છે‎સમગ્ર ભારતમાં હાલ પણ ગ્રામ્ય પંથકમાં ભારતની અસ્મિતા અને સંસ્કૃતિ વસેલી છે ત્યારે ગેસના સિલિન્ડર વિતરણના નિયમોમાં શહેર અને ગામડા નિયમો અલગ અલગ કરી ગામડે રહેતા પરિવારનું અપમાન કરવામાં આવ્યું છે. > ભરતભાઈ ખૂટી,ગ્રામજનો

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

સન્ડે ફોટો સ્ટોરી:5500 વર્ષ જૂનો ભીમનો ખાંડણીયો કુછડી -ખીમેશ્વર મહાદેવ મંદિરે આજે પણ હયાત

પોરબંદર નજીક આવેલ કુછડી ગામ પાસે આવેલા ખીમેશ્વર મહાદેવ મંદિરે એક પ્રાચીન ઐતિહાસિક અવશેષ તરીકે ભીમનો ખાંડણીયો આજે પણ જોવા મળે છે. પૂજારી વિજયપુરી ગોસ્વામીએ જણાવ્યું હતુકે, માન્યતા મુજબ મહાભારત કાળ દરમિયાન પાંડવો પોતાના અજ્ઞાતવાસના સમયમાં આ દરિયાકાંઠા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે પાંડવ ભીમસેને ભોજન તૈયાર કરવા માટે પથ્થરમાં ખાંડણીયો તૈયાર કર્યો હતો. આ અવશેષને આશરે 5500 વર્ષ જૂનો ગણવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

મેસ સંચાલકો થયા પરેશાન:પોરબદરની સ્કૂલ,કોલેજોની હોસ્ટેલમાં ગેસ સિલિન્ડરના અભાવે મેસ બંધ થવાને આરે, હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

પોરબંદર જિલ્લામાં કોમર્શિયલ ગેસના સિલિન્ડર વિતરણ બંધ થતાં જ સ્કૂલ કોલેજમાં આવેલ હોસ્ટેલમાં હવે મેસ બંધ થવાને આરે છે. હાલ જિલ્લાની સ્કૂલ કોલેજમાં આવેલ હોસ્ટેલમાં ચાલતા મેસ સંચાલકો પાસે ગેસ સિલિન્ડર ન હોવાથી મેસ બંધ કરવાની તૈયારીમાં છે તો આ બાબતે સંચાલકોને સ્કૂલ કોલેજના સંચાલકોને પણ જાણ કરી છે અને લાકડાના ચૂલા મારફતે ભોજન બનાવવવા પરમિશન અપાઈ તો નિયત ભોજનનું મેનુ કાપ મુકવા તૈયારી કરી છે. પોરબંદર જિલ્લામાં હાલ એજન્સી દ્વારા કોમર્શિલય સિલિન્ડર આપવાના બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને જિલ્લામાં ખાણીપીણીના વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ વેપારીઓ પોતાના વ્યવસાયો બંધ કરવાની તૈયારીમાં છે ત્યારે કોમર્શિલય સિલિન્ડર વિતરણ બંધ થતાની સાથે જ જિલ્લામાં આવેલ સ્કૂલ,કોલેજની હોસ્ટેલમાં ચાલતા મેસમાં પણ સિલિન્ડરની અછત સર્જાઇ છે. જિલ્લાની સ્કૂલ,કોલેજની હોસ્ટેલના મેસમાં કોમર્શિલય સિલિન્ડર વિતરણ બંધ થતાં જ મેસ સંચાલકોને ભોજન બનાવવું મુશ્કેલ બન્યું છે અને આ બાબતે સંચાલકો દ્વારા જો ગેસના સિલિન્ડર ન મળે તો ભોજન બનાવવાનું બંધ કરી દેવા પણ સ્કૂલ કોલેજના સંચાલકોને રજૂઆત કરવામાં આવી છે. લાકડા થી રસોઈ બનશે તો મેનુંમાં કાપ મુકાશેપોરબંદર શહેરમાં આવેલ સ્કૂલ કોલેજની હોસ્ટેલની મેસમાં હાલ ગેસ સિલિન્ડર અછત ઉભી થઇ છે ત્યારે હવે મેસ સંચાલકો દ્વારા લાકડા થી રસોઈ બનાવવા પણ મજૂરી માંગી રહ્યા છે પરંતુ સંચાલકો એવું પણ જણાવ્યું હતું કે લાકડા થી હોસ્ટેલના મેસમાં બનશે તો ભોજનનું મેનુમાં કાપ મુકવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

સ્થાનિકોમાં રોષમાં વ્યાપ્યો:ચૂંટણી નજીક હોવાથી ઉદ્યોગનગર ફાટક પાસેથી બોર્ડ હટાવાયું

પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક તા. 31/5/26ના બંધ કરી દેવામાં આવશે તેવું બોર્ડ લગાવાયા બાદ બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતુકે, બોર્ડ હટાવ્યું છે તે ચૂંટણી નજીક હોવાથી હટાવ્યુ હોય તેવું લાગે છે. યોગ્ય માર્ગ મળ્યા પહેલા ફાટક બંધ થયું તો આંદોલન થશે તેવી સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી છે. પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ વિરોધ અને આંદોલન કરતા ફાટક ખોલી નાખવામાં આવ્યું હતું. વૈકલ્પિક માર્ગ મનપા દ્વારા પહોળો કરવા અને સમારકામ કરવાનું હોય જેથી આ ફાટક તા. 31/5/2026 સુધી ખુલ્લું કરવા કલેક્ટર દ્વારા રેલવે વિભાગને પત્ર લખી જાણ કરતા આ ફાટક ખૂલ્યું હતું. થોડા દિવસ પહેલા ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા બોર્ડ મૂકી જાણ કરવામાં આવી હતી કે તા. 31/5/2026ના રોજ રાત્રે 12 વાગ્યેથી ફાટક કાયમી બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડ જોઈને ફરીથી વિરોધ નોંધાયો હતો જેથી બીજા દિવસે રાતોરાત બોર્ડ હટાવી લેવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિકોમાં રોષ યથાવત રહ્યો હતો. સ્થાનિક મહિલાઓએ ફાટક પાસે આવીને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુ કે, જ્યારે ફાટક ખૂલ્યું ત્યારે રાજકીય આગેવાનોએ કહ્યું હતું કે, સ્થાનિકોને સાથે રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવશે, પરંતુ બોર્ડ મારી દેવામાં આવ્યું અને હવે બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે જે ચૂંટણી જનક આવે છે એટલે બોર્ડ હટાવ્યું હોવાનો અંદાજ છે. ફાટક કાયમી ન ખોલો પરંતુ ફાટક નજીકથી યોગ્ય માર્ગ કરી આપો. હાલ વૈકલ્પિક રસ્તો કહેવામાં આવે છે તે રોંગ સાઇડ રસ્તો છે અને પાણીના વહેણ માટેનો માર્ગ છે, ચોમાસામાં એ રોડ પર પાણી ભરાશે અને સ્થાનિકો હેરાન થશે. ચૂંટણી પહેલા નવા રોડ બાબતે લેખિતમાં આપવામાં નહી આવે તો સ્થાનિકો ચૂંટણીમાં જવાબ આપશું. ફાટક યોગ્ય માર્ગ મળ્યા પહેલા બંધ થશે તો આંદોલન કરવામાં આવશે તેવું સ્થાનિકોએ રોષભેર ચીમકી ઉચ્ચારી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

બેંકિંગ અને યોજનાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું:ખાપટ આંગણવાડીમાં પીએમ સ્વનિધિ યોજના અંગે જાગૃતિ કેમ્પ યોજી બહેનોને માર્ગદર્શન અપાયું

પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે મનપાના NULM વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે પ્રચાર-પ્રસાર તેમજ ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બહેનોને સરકારની વિવિધ યોજનાઓ અને બેંકિંગ વ્યવહાર અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે મનપાના NULM શાખાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી બહેનોને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે યોજનાના લાભ, લોન પ્રક્રિયા તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે સમજ આપી હતી. સાથે જ લીડ બેંકના ફાઇનાન્સિયલ લિટરસી કોર્ડિનેટર જાવેદભાઈ દ્વારા બેંકિંગ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના સહિતની વિવિધ બેંકિંગ યોજનાઓની માહિતી આપી હતી. તેમજ બેંકિંગ વ્યવહાર દરમિયાન થતા ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું તે અંગે પણ બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન પીએમ સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવતા ક્રેડિટ કાર્ડ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મનપાના NULM પ્રોજેક્ટના સમાજ સંગઠન કાર્યકર અલ્પાબેન મકવાણા અને મનીષાબેન ચાંચિયા સહિત ખાપટ વિસ્તારની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ:ખાપટ ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

પોરબંદર જિલ્લાના ખેડૂતો કૃષિ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરે તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા ઉમદા હેતુસર ખેડૂત તાલીમ કેન્દ્ર, પોરબંદર ખાતે કૃષિ મેળો તથા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે. પ્રાકૃતિક ખેતી આજના સમયમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે અત્યંત જરૂરી બની છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, તેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવું આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે.તેમજ વિવિધ ઉદાહરણો દ્વારા પ્રાકૃતિક ખેતીના લાભો અંગે સમજ આપતાં ખેડૂતોને આ દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

લોકઅદાલત સાર્થક થઈ:પોરબંદરની લોક અદાલતમાં‎કુલ 9545 કેસનો નિકાલ થયો‎

પોરબંદર જિલ્લાની કોર્ટમાં લોક અદાલત યોજાઈ જેમાં કુલ 9545 કેસનો નિકાલ થયો હતો અને કુલ રૂ. 6,42,65, 205 રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો છે. ગઈકાલે તારીખ 14 માર્ચના શનીવારના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જિલ્લા ન્યાયાલય, પોરબંદર ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ પોરબંદર દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અમદાવાદની અનુશ્રામાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં પહેલાના કેસો જેવાકે પ્રી- લીટીગેશનના કુલ 7849 કેસ, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ 314 કેસ તથા સ્પેશ્યલ સીટિંગના કુલ 1382 કેસ મળીને કુલ 9545 કેસનો નિકાલ થયો હતો તેમજ કુલ રૂ.6,42,65,206 રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવેલ હતો. પોરબંદર જિલ્લાની કોર્ટમાં લોક અદાલત યોજાઇ હતી. જેમાં કુલ 9545 કેસનો નિકાલ થયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

મોકડ્રિલનું આયોજન કરાયું:પોરબંદરના ટોલપ્લાઝામાં કેમિકલ લિકેજની ‎સંભવિત પરિસ્થિતિ અંગે મોકડ્રિલ યોજાઈ‎

પોરબંદર ટોલપ્લાઝા ખાતે સંભવિત કેમિકલ લીકેજ જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ અને ટોલપ્લાઝાના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલ દરમિયાન ટોલપ્લાઝા વિસ્તારમાં કેમિકલ ભરેલા વાહન માંથી લીકેજ થવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. પરિસ્થિતિ સર્જાતા જ ફાયર વિભાગને માહિતી આપવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સુરક્ષા સાધનો સાથે વિસ્તારને સુરક્ષિત બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કેમિકલ લીકેજને કાબૂમાં લેવાની પ્રક્રિયા, આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી તેમજ સંભવિત અસરગ્રસ્ત વ્યક્તિઓને બચાવી સલામત સ્થળે ખસેડવાની રેસ્ક્યુ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન ટોલપ્લાઝા સ્ટાફને આવી પરિસ્થિતિમાં કેવી રીતે સાવચેતી રાખવી અને ફાયર વિભાગને સહકાર આપવો તેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

મારામારીનો મામલો આવ્યો સામે:બોખીરા હાઈવે પર બે પક્ષે બોલાચાલી બાદ મારામારી કરી

પોરબંદરના બોખીરા હાઈવે પર હોટલ સુગર એન્ડ સ્પાઇસની બાજુમાં આવેલ ટુરિસ્ટ ટ્રાવેલ્સ ઓફિસ પાસે થયેલા ઝઘડાના બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા 3 શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા હિરેન દુદાભાઈ ખુંટી નામનો રિક્ષા ડ્રાઇવર યુવાન હોટલ સુગર એન્ડ સ્પાઇસની બાજુમાં આવેલી ટુરિસ્ટ ટ્રાવેલ્સ પાસે ઉભા હતા ત્યારે ગીતાનગર ગેટ સામે જીઆઈડીસીમાં રહેતો રાજેશ મંગલદાસ ઠક્કર ત્યાં આવી પહોંચ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતાં રાજેશે યુવાનને ગાળો આપી મારામારી કરી અને પથ્થર ફેંકી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઝઘડામાં યુવાનના પિતાને પણ ઈજા પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે રાજેશ મંગલદાસ ઠક્કર દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેઓ પેસેન્જરને છોડવા માટે ટ્રાવેલ્સ પાસે આવ્યા હતા ત્યારે હિરેન દુદા ખુંટી સાથે બોલાચાલી થઈ હતી. રિક્ષા ગાયત્રી મંદિર પાસે આવેલ મંદિર પાસે લઈ જવાનું કહેતા અને ના પાડતા હિરેન તથા તેમના સાથીએ તેમને ગાળો આપી મારામારી કરી અને પથ્થર ફેંકી ઈજા પહોંચાડી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષે ફરિયાદ લઈ કુલ 3 શખ્સ સામે ગુન્હો નોંધી આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

પોરબંદર કોર્ટે ફટકારી સજા:ચેક બાઉન્સ કેસમાં ઉદ્યોગપતિ પરિવારના શખ્સને 6 મહિનાની સજા

પોરબંદરના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વિવેદીની કોર્ટએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમા પોરબંદરમાં ચેક બાઉન્સના એક કેસમાં કોર્ટ દ્વારા ઉદ્યોગપતિ પરિવારના શખ્સ દેવ હરીરામ ચમને 6 મહિનાની સજા ફટકારતો આદેશ કર્યો છે. પોરબંદરના દેવ હરીરામ ચમએ દેવ સ્ટરલાઈઝર નામે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ વ્યવસાય માટે જરૂરી જલાવ લાકડું રાજેશ ગોગનભાઈ બોરસીયા પાસેથી ખરીદવામાં આવ્યું હતું. કુલ રૂ.12,08,845ના માલ બદલ દેવ ચમ દ્વારા અલગ અલગ ચેક આપવામાં આવ્યા હતા. તેમાં રૂ. 2,04,400નો ચેક બેંકમાં રજૂ કરતા પરત ફરતા રાજેશ બોરસિયાએ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. ફરીયાદી તરફથી એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદર કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન રેકોર્ડ પરના પુરાવા, કાયદાકીય જોગવાઈઓ અને વકીલોની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે દેવ હરીરામ ચમને 6 મહિનાની કેદ, ચેક મુજબની રકમ દંડરૂપે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી પક્ષે પોરબંદરના એડવોકેટ દીપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી અને રમેશ ગોઢાણીયા રોકાયેલા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

દારૂનું દૂષણ:જિલ્લામાં 24 કલાકમાં દેશી દારૂના 16 કેસ નોંધાયા

પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 16 કેસ નોંધાયા હતા. જેમાં 7 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 9 કેસમાં પોલીસે 33 લિટરથી વધુનો દેશી દારૂનો જથ્થો કિંમત રૂ.6,680નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

શ્રમિકોને સાઇટ પર જ જરૂરી સારવાર મળશે:જિલ્લામાં હવે 3 ધન્વંતરી રથ દોડશે

પાટણ જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ દ્વારા ત્રીજા ધન્વંતરી રથનું પ્રસ્થાન કરાયું હતું.​ આ મોબાઈલ હોસ્પિટલ દ્વારા શ્રમિકો કામના સ્થળે જ તાવ, ચામડીના રોગો અને સામાન્ય ઈજાઓની સારવાર મળશે. એટલું જ નહીં, લોહી-પેશાબની તપાસ, બ્લડ શુગર અને મેલેરિયા જેવા ટેસ્ટ પણ સ્થળ પર જ વિનામૂલ્યે કરી અપાશે. ​સગર્ભા મહિલાઓ અને બાળકોને પણ લાભ થશે આ રથ માત્ર શ્રમિકો જ નહીં, પરંતુ તેમની વસાહતમાં રહેતા બાળકો અને સગર્ભા મહિલાઓને પણ જરૂરી તબીબી સલાહ અને પ્રાથમિક સારવાર પૂરી પાડશે. આ ઉપરાંત, શ્રમિકો માટે ઈ-નિર્માણ કાર્ડની નોંધણી પણ સ્થળ પર જ કરાશે, જેથી તેઓ સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવી શકે. હાલ પાટણ જિલ્લામાં બે ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત છે અને વધુ એક ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોના આરોગ્ય અને કલ્યાણ માટે હાથ ધરવામાં આવેલી આ યોજના શ્રમિકોના જીવનમાં આરોગ્ય સુરક્ષા અને સગવડતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ખેડૂતોમાં આનંદનો માહોલ:PM કિસાન યોજના અંતર્ગત 1.82 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.37.56 કરોડ જમા

પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણના નવા શાકભાજી માર્કેટ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણ ખાતે જિલ્લા કક્ષાના ​પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 22મા હપ્તા પેટે પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને કુલ 37.56 કરોડની સહાય સીધી DBT(ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું કે જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં આઇ ખેડૂત પોર્ટલ દ્વારા 32 હજારથી વધુ ખેડૂતોને 78.57 કરોડની સહાય અપાઈ છે. કાર્યક્રમમાં ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરાયો હતો તથા વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ અને ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

યુનિ.માં MSCIT વિભાગમાં બે દિવસીય વર્કશોપ:છાત્રોને સાયબર સુરક્ષા માટે હાઈટેક ટૂલ્સનો ઉપયોગ કરવા શીખવડાવ્યું

યુનિવર્સિટીમાં MSCIT વિભાગમાં સાયબર સુરક્ષાના જ્ઞાન માટે બે દિવસીય વર્કશોપ (કાર્યશાળા) યોજાયો હતો. જેમાં એથિકલ હેકિંગ (નૈતિક હેકિંગ) એટલે કે પરવાનગી સાથે સિસ્ટમની સુરક્ષા તપાસવાની કળા વિશે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ (પ્રાયોગિક તાલીમ) અપાઈ હતી. કુલપતિ ડો. કે.સી. પોરીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વાયરશાર્ક (નેટવર્ક વિશ્લેષણ સાધન) અને મેટાસ્પ્લોઈટેબલ ફ્રેમવર્ક (ખામી શોધવાની પદ્ધતિ) જેવા હાઈટેક ટૂલ્સનો ઉપયોગ કરતા શીખવાડવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમના યુગમાં આ તાલીમ યુવાનોને ડેટા ચોરી અટકાવવા અને આઈટી ક્ષેત્રે રોજગારી મેળવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

પગ ભાંગેલા શ્વાને ૫ કલાક વેદના ભોગવી:શ્વાનની સારવાર માટે બોલાવેલી એમ્બ્યુલન્સ પાંચ કલાક પછી આવી ત્યાં સુધી કણસતું રહ્યું

માણસોની સારવારમાં વેઇટિંગ હોય એ સ્વભાવિક છે, પરંતુ મહેસાણા શહેરમાં પશુઓની સારવારમાં પણ કરુણા એનિમલ હેલ્પલાઇનમાં શનિવારે 5 કલાકનું વેઇટિંગ જોવા મળ્યું હતું. રાધનપુર રોડની સોસાયટીના યુવકે શ્વાનની સારવાર માટે સવારે 11:30 કલાકે ફોન કર્યા બાદ છેક 4:30 કલાકે એમ્બ્યુલન્સ પહોંચી હતી. ત્યાં સુધી શ્વાન પગ ભાગી ગયેલ દર્દથી કણસતું રહ્યું હતું. રાધનપુર રોડ સ્થિત સ્વામિનારાયણ સોસાયટી વિસ્તારના શેરી શ્વાનનો શનિવારે પગ ભાગી જવાથી ઇજાઓ થઈ હતી. સ્થાનિક યુવકે કરુણા એનિમલ હેલ્પલાઇનમાં સારવાર માટે 11-30એ કોલ લખાવ્યો હતો. બપોરે 4:30 કલાકે એમ્બ્યુલન્સ પહોંચી હતી અને શ્વાનની તપાસ કરી પગે ફેક્ચર થયું હોવાનું કરી ત્રણ ઇન્જેકશન સહિત સારવાર આપી હતી. અન્ય કેસોની સારવાર ચાલુ હોવાથી મોડું થયું હશે1962 હેલ્પલાઇનના સુપરવાઇઝર શ્યામલ રબારીએ જણાવ્યું કે, મહેસાણામાં રોજ કેસનું પ્રમાણ વધારે હોય છે અને એમ્બ્યુલન્સ માત્ર એક જ છે. આજે સવારે 9 વાગ્યાથી એમ્બ્યુલન્સને કોલ ચાલુ થયા હતા. અન્ય કેસોની સારવાર ચાલુ હોવાથી કદાચ મોડી થઈ હશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

નિમણૂક:રોટેશન બાદ જિલ્લાની 6 પાલિકાની ચૂંટણી માટે અધિકારીઓ નિમાયા

જિલ્લાની મુદત પૂરી થતી કડી, ઊંઝા, વિસનગર અને વિજાપુર તેમજ નવરચિત બહુચરાજી નગરપાલિકાની આગામી સમયમાં યોજાનાર સામાન્ય ચૂંટણી તેમજ અને વડનગર પાલિકાની પેટા ચૂંટણીને લઇ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારી હાથ ધરાઇ છે. આખરી મતદારી યાદી બાદ વોર્ડ સીમાંકન અને રોટેશન પણ જાહેર કરી દેવાયું છે. હવે આ નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. કડી નગરપાલિકા વોર્ડ 1 થી 9 માટે પ્રાંત અધિકારી કડીને ચૂંટણી અધિકારી તરીકે અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મહેસાણાને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરાઈ છે. ઊંઝા નગરપાલિકા વોર્ડ 1 થી 9 માટે જિલ્લા પુરવઠા અધિકારીને ચૂંટણી અધિકારી અને મામલતદારને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે, વિસનગર નગરપાલિકા વોર્ડ 1 થી 9 માટે પ્રાંત અને મામલતદારને નિમવામાં આવ્યા છે. વિજાપુર નગરપાલિકા વોર્ડ 1 થી 7 માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત/જનરલ) મહેસાણાને ચૂંટણી અધિકારી અને મામલતદારને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ સોંપાઇ છે. નવરચિત બહુચરાજી નગરપાલિકામાં વોર્ડ 1 થી 6 માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ/મહેસૂલ /વિકાસ) ચૂંટણી અધિકારી તરીકે અને મામલતદાર બહુચરાજી મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે. વડનગર નગરપાલિકા (વોર્ડ 2)માટે મહિલા અને બાળ વિકાસ અધિકારી મહેસાણાને ચૂંટણી અધિકારી તરીકે અને મામલતદાર વડનગરને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

વેધર રિપોર્ટ:ગરમી સવા ડિગ્રી ઘટતાં પારો 38થી નીચે ઉતર્યો

ઉત્તર ગુજરાતમાં અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે શનિવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના પણ દર્શાવી છે. શનિવારે પશ્ચિમ દિશાથી સરેરાશ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 20 થી 50 ટકાની વચ્ચે નોંધાયું હતું. ભેજ વધતાં દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધતાં ઠંડીનો પારો 21 થી 21.5 ડિગ્રીની વચ્ચે રહ્યો, જેના કારણે ઠંડીનું જોર સામાન્ય ઘટ્યું હતું. બીજી તરફ ભેજના કારણે મહત્તમ તાપમાનમાં સવા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 37.5 થી 37.8 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. 38 ડિગ્રીથી નીચે તાપમાન રહેતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ફરિયાદ:આઈબીની ખોટી ઓળખ આપી ડોકટરની કારમાંથી ડ્રગ્સની પડીકી મળ્યાનું કહી પૈસા પડાવવાનો કારસો

પાટડી તાલુકાના માલવણ હાઈવે પર આઈબીની ખોટી ઓળખ આપી ડોક્ટરની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળ્યાનું કહી રૂ. પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રાના ડોક્ટરે 1 મહિલા સહિત કુલ 5થી વધુ શખસ સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ધ્રાંગધ્રા ડોક્ટર હાઉસના મેડિકલ પ્રેક્ટિસ કરતા 56 વર્ષના ડોક્ટર આશિષ ચંપકલાલ શાહે કેતનભાઈ હસમુખભાઈ રાવલ, ખાખી ડ્રેસ પહેરેલા 2 માણસ, સાદા કપડામાં રહેલી મહિલા અને સાદા કપડામાં રહેલા અન્ય અજાણ્યા માણસો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ ધ્રાંગધ્રાથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે માલવણ હાઈવે પર ટોલ ટેક્ષ પાસે પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાના મળતીયા માણસો દ્વારા ચેકિંગના બહાને ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું જણાવી ખોટા કેસમાં ફસાવી દેવાનો કારસો રચ્યો હોવાનું નોંધાવ્યું છે. જે બાદ ધ્રાંગધ્રાના ડો. આશિષ ચંપકલાલ શાહે તપાસ કરાવતા કેતનભાઈ હસમુખભાઈ રાવલ આઈબી વિભાગમાં કામ કરતા ન હોવાનું સામે આવતા એમણે આ તમામ આરોપીઓ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એ.કે.વાઘેલા ચલાવી રહ્યાં છે. એમણે મારા હાથમાં પડીકી આપી વીડિયો રેકોર્ડિંગ કર્યું હું માલવણ હાઈવે પર આ લોકોને ગાડી ચેક કરાવતો હતો, ત્યારે એમની સાથેની સાદા ડ્રેસમાં આવેલી મહિલા હાથમા પડીકી લઈને આવી હતી, અને આ પડીકીને મારા હાથમા આપી એનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. બાદમાં આ પડીકીમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. - ડો. આશિષ શાહ, ફરિયાદી

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ભાસ્કર એનાલિસિસ:ઉનાળુ પાક પર ગત માવઠાએ પાણી ફેરવ્યું : માર્ચ મધ્યાહને છતાં 29% વાવેતર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે માર્ચ મધ્ય સુધીમાં 10093 હેક્ટરમાં વાવેતર થઇ ગયું હતું પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 8008 હેક્ટરમાં જ થઇ શક્યું છે. નિષ્ણાતોના મતે છેલ્લા બે વર્ષથી પડી રહેલા કમોસમી વરસાદના પગલે આ સ્થિતિ ઉદ્ભવી છે. કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઝાલાવડમાં માર્ચ મધ્ય સુધીમાં સરેરાશ 27710 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થતું હોય છે. આ વર્ષે સરેરાશની સરખામણીમાં તો ખૂબ જ ઓછું થયું છે. એટલું જ નહીં ગત વર્ષે અત્યાર સુધીમાં થયેલા 10093 હેક્ટરની સામે આ વર્ષે માત્ર 8008 હે. માં જ થયું છે. ઓણસાલ અત્યાર સુધીમાં ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધુ અને સાયલા તાલુકામાં સૌથી ઓછું વાવેતર થયું છે. જેમાં મુખ્ય પાક જેવા મગ, મગફળી, તલ, ગમગુવાર શાકભાજીમાં ઘટાડો થયો છે. જ્યારે ડાંગર, બાજરી, શાકભાજીમાં વધારો થયો છે. જ્યારે પરંપરાગતથી હટકે ડાંગર પાકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષ વધારો થયો છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.આર.પરમારે જણાવ્યુ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરની શરૂઆત થઇ છે. શરુઆતી બાદ આગળ જતા આંકડા વધશે. શિયાળુ મોડુ થતા તેની અસર ઉનાળુ પાક પર થાય છે છેલ્લા 2 વર્ષથી કમોસમી વરસાદ થતા શિયાળુ વાવેતર મોડુ થાય છે અને તે મોડે સુધી રહેતા ઉનાળુ પાકની પણ મોડી શરુઆત થાય છે. છેલ્લા 3 વર્ષના માર્ચ મધ્ય સુધી વાવેતરના આંકડા જોઇએ તો 2024માં 12999ની સામે 2025માં 10093 અને 2026માં માત્ર 8008 હે.માં જ થયું છે. ગમ, ગુવાર અને શાકભાજીનો ઉતારો આવતા ઓછું વાવેતરતલમાં મગફળીના પાકને પિયતની જરૂર હોય છે એટલે પાણીની રાહે ઓછું થયું હોઇ શકે છે. ઉનાળુ શાકભાજી તથા ગમ, ગુવારમાં ઉનાળામાં ઉતારો ઓછો આવતો હોય છે અને ભાવ સારા ન મળતા તેનું વાવેતર ઘટ્યું હોઇ શકે. ખેડૂતોએ સમયસર પિયત ખાતર આપતા રહેવું જોઇએ. પિયતની ખેંચ પડે તો પાકને માઠી અસર થાય છે. -જનકભાઇ કલોત્રા , (નિવૃત્ત ખેતીવાડી અધિકારી)

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ખનીજચોરોમાં દોડધામ:સુદામડા વિસ્તારમાં ગેરકાયદે 5 ખાણમાં દરોડા : કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાયલા સુદામડા વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે ખાણોમાં પોલીસ તંત્ર દ્વારા દરોડાઓ કરાવમાં આવતા ખનીજચોરોમાં દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાલ તો 35 ડમ્પર, 13 હિટાચી સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી આગળન કાર્યવાહી હાથ ધરાઇ હતી. સાયલા, થાન તેમજ મૂળી સહિતના વિસ્તારોમાં ગેરકાયદે મોતની ખાણો આવેલી છે. આ બાબતની ગંભીર લઇને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, સાયલા પીઆઈ વાય.જી. ઉપાધ્યાય, એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલા સાથે સાયલાના સુદામડા ગામના વિસ્તારોમાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં આ વિસ્તારમાં આવેલી 5 ખાણમાં ખનીજ ચોરી પોલીસના ધ્યાને આવી હતી. આથી ખનીજ વિભાગને પણ જાણ કરાઇ હતી. ત્યારે આ બનાવમાં 35 જેટલા ડમ્પરો, 13 હિટાચી સહિત કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. 270 કરોડની દંડવાળી ખાણ ત્રીજીવાર ઝડપાઇવિસ્તારમાં ગેરકાયદે રહેલી ખાણને અગાઉ રૂ. 270 કરોડની દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી. ત્યારે આ ખાણને સતત ત્રીજીવાર ઝડપી પાડવામાં આવતા ચકચાર ફેલાઇ હતી. બીજી તરફ 1 ખાણમાં 14 ઊંડા ડાર પાડ્યાહોવાનું બહાર આવ્યા હતા. ફાયરિંગની અફવાએ જોર પકડ્યુંપોલીસ કાફલા, ખનીજ વિભાગે કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ કાર્યવાહી દરમિયાન ફાયરિંગ થયાની અફવાએ જોર પકડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

વિરોધ પ્રદર્શન:ભાજપે મળતિયાઓ સાથે મળી ગેસના બાટલાની કૃત્રિમ અછત ઊભી કરી છે : આમ આદમી પાર્ટી

જિલ્લામાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અને આસમાને પહોંચેલા ભાવવધારાને મુદ્દે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ દ્વારા જનતાને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. મિડલ ઇસ્ટના દેશો વચ્ચે યુધ્ધના પગલે ગેસના પરિવહનને અસર થઇ છે. જિલ્લામાં પણ લોકો ગેસના બાટલા માટે ધક્કા ખાતા જોવા મળે છે. આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ દ્વારા જે રીતે ગેસના બાટલાની અછત અને વધતા જતા ભાવના કારણે જે મુશ્કેલી ચાલી રહી છે તો તેના અનુસંધાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આપ પ્રમુખ મયુરભાઇ શાકરીયા, શહેર પ્રમુખ કમલેશભાઇ કોટેચા, પ્રભારી વઢવાણ વિધાનસભા દિપકભાઈ ચિહલા, મયુર સાકરીયા સહિત આગેવાનોએ રસ્તાઓ ગેસના બાટલા સાથે ઉતરી આવી વિરોધ કર્યો હતો. જેમાં જણાવ્યું કે સરકાર આવી ત્યારથી લોકોને લાઇને લગાડ્યા છે. પહેલા નોટબંધીમાં પછી કોરોનામાં ઓક્સિજન માટે અને હાલ ગેસના બાટલા માટે. હાલ ગેસના બાટલાની કૃત્રિમ અછત સર્જી ભાવ વધારી દેવાયા છે અને સરકારના મળતીયાને ફાયદા કરાવવા કાળા બજાર કરાઇ રહ્યા છે. જ્યારે 400 રૂપીયા ભાવ હતો ત્યારે ભાજપના આગેવાનો વિરોધ કરતા હતા આજે 1200 રૂપીયા ગેસના બાટલાના ભાવ થઇ ગયા ક્યાં છે એ નેતાઓ જે લોકોને પૂરતા ગેસની વ્યવસ્થા નહીં થાય અને કાળાબજાર નહીં અટકાવાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. ત્યારે પોલીસે આગેવાનોની અટકાયત કરવામાં આવતા રોષ ફેલાયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

લોકોમાં ફફડાટ‎:નર્મદાની લાઈનમાં ગટરના પાણી ભળતા 4 દિવસમાં ટાઈફોઈડના 20થી વધુ કેસ

સુરેન્દ્રનગર જિલ્લાના ઔદ્યોગિક શહેર થાનગઢમાં પીવાના પાણીની લાઈનમાં ગટરના ગંદા પાણી ભળી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં છેલ્લા 3 દિવસમાં ટાઈફોડના 20 જેટલા કેસ નોંધાયા છે. જે આગામી સમયમાં મોટી મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. પાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા નર્મદાના નીરમાં ગટરની દુર્ગંધ આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. થાનગઢની અંદાજે 50થી 60 હજારની વસ્તીને દૈનિક 9 એમએલડી નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પાઈપલાઈનમાં ભંગાણ થયું હોય અથવા લીકેજને કારણે ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. વોર્ડ નંબર 6માં ડોક્ટર સતાપરા સાહેબના દવાખાના વિસ્તાર સહિતના રહેણાંક વિસ્તારોમાં નળ વાટે આવતું પાણી અસહ્ય દુર્ગંધ મારી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બન્યા બાદ સુવિધાઓ વધવાને બદલે ઘટી રહી છે. ટાઈફોડ એ પ્રદૂષિત પાણીથી ફેલાતો રોગ હોવા છતાં પાલિકા તંત્ર ઊંઘતું હોય તેમ જણાય છે. પાણીની પાઇપ લાઇનની તપાસ ચાલુ, રિપેરીંગ કરાશે ગટરનું પાણી પીવાના પાણીની પાઈપ લાઈન અંગે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે. જેથી લોકોની સમસ્યા દૂર કરવામાં આવશે. - હિતુભા ગોહિલ, ચીફ ઓફિસર

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

બસમાં આગ લાગવાનો મામલો:ધાનેરામાં બસમાં આગ લાગવાના કારણો શોધવા સેમ્પલ એફએસએલમાં મોકલાયા

ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક શુક્રવારે જૈસલમેરથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસમાં વહેલી સવારે અંદાજે 3.30 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા બસમાં ઝડપથી ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે મુસાફરો ગૂંગળાવવા લાગ્યા અને અફરાતફરી મચી ગઈ હતી. જીવ બચાવવા મુસાફરો દોડતી બસમાંથી કૂદી પડ્યા અને કેટલાકે બારીઓ તોડી બહાર નીકળ્યા હતા. આ ઘટનામાં એકમાત્ર અંબાલાલનું જ દાઝવાથી મોત થયું હતું, ધાનેરા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ધાનેરા પીઆઈ મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સેમ્પલ લઈને એફએસએલમાં મોકલાવ્યા છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગ લાગવાની સાચી હકીકત જાણી શકાશે. તો બીજી બાજુ પ્રભાતે બનેલા એસી સ્લીપર બસ અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર 45 વર્ષના અંબાલાલ સુજારામ દરજી અમદાવાદ ખાતે સુગરની દવા લેવા માટે એકલા જ નીકળ્યા હતા. તેઓ રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના ખીંવસર ગામના રહેવાસી હતા અને છેલ્લા ચાર વર્ષથી સુગરની સારવાર લઈ રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

રેસ્ક્યૂ:વ્યારા બાયપાસ રોડ પર 18 ભેંસ ભરેલું કન્ટેનર ઝડપાયું, બે પકડાયા

તાપી જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે વ્યારા તાલુકાના બાયપાસ નજીક પશુ હેરાફેરીનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે કન્ટેનરમાં ખીચોખીચ ભરેલી 18 ભેંસો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. વ્યારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તેજસભાઈ ગામીતને તાપી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મારફતે માહિતી મળી હતી કે કન્ટેનર નં. GJ-16-AY-6457માં પશુ ભરેલા છે અને માંડળ ટોલનાકા તરફથી વ્યારા તરફ આવી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે પંચોને સાથે રાખી વ્યારા બાયપાસ નજીક વોચ ગોઠવી હતી. સોનગઢ તરફથી આવતું કન્ટેનર રોકીને તપાસ કરતા તેમાં ટાટા કંપનીનું બંધ બોડી કન્ટેનર હોવાનું જણાયું. કેબીનમાં બેઠેલા બે ઇસમોને નીચે ઉતારી પૂછપરછ કરતા ડ્રાઇવરે પોતાનું નામ ઇમરાન ઇશાકઅલી ડેમા અને ક્લીનરે પોતાનું નામ ઇમરાન લિયાકત સિંધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કન્ટેનર ખોલીને તપાસ કરતા અંદર ટૂંકી દોરીથી બાંધી ખીચોખીચ ભરેલી 18 ભેંસો મળી આવી હતી. આરોપીઓ પાસે પશુ પરિવહન માટેની પાસ-પરમિટ કે જરૂરી દસ્તાવેજો ન મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસએ દરેક ભેંસની કિંમત રૂ.20,000 મુજબ 18 ભેંસોની કુલ કિંમત રૂ.3.60 લાખ અને કન્ટેનર ટ્રકની કિંમત રૂ.7 લાખ ગણાવી કુલ રૂ.10.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વોન્ટેડ આરોપી ઇમરાન યુસુફ કુહાડિયા રહે. વલણ ગામ, ભાબર કોલોની, તા. કરજણ, જી. વડોદરા, ઇમરાન ઇસ્માઈલ પટેલ, રહે. શેરપુરા સડક ફળીયું, જી. ભરૂચ પોલીસ દ્વારા બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:00 am

ગેસ સિલિન્ડરની અછત વચ્ચે વડોદરામાં ગેસ ચોરી ઝડપાઈ:ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં રિફિલ કરતા શખસને SOG પોલીસે ઝડપી પાડ્યો

તાજેતરમાં પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં અછત સર્જાતા ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી તેમજ ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ગેરકાયદેસર સંગ્રહખોરી અને ગેસ રિફિલિંગ અટકાવવા SOGની વોચએસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત અને ટીમ દ્વારા શહેર વિસ્તારમાં ગેસ રિફિલિંગ, રીપેકિંગ તથા ગેરકાયદેસર સંગ્રહખોરી અટકાવવા માટે સત્તત વોચ રાખવામાં આવી રહી છે. દરમ્યાન બાતમી મળી હતી કે રામદેવ ગેસ એજન્સીનો ટેમ્પો ચાલક સાદુલભાઈ ભોપાભાઈ ભરવાડ એજન્સીમાંથી મળેલા ભરેલા ભારત ગેસના સિલિન્ડરોને ગ્રાહકો સુધી પહોંચાડવાના બદલે પોતાના રહેઠાણે લઈ જઈને તેના સીલ તોડી, પાઇપ દ્વારા કોમર્શિયલ ગેસના ખાલી સિલિન્ડરોમાં ગેસ ભરી રિફિલિંગ કરી ચોરી કરતો હતો અને તેને રીપેક કરીને છૂટકમાં વેચતો હતો. ઘરેલું સિલિન્ડરમાંથી ગેસ કોમર્શિયલમાં રિફિલ કરતો શખસ ઝડપાયોઆ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે હરણી વિસ્તારના ન્યુ વી.આઇ.પી. રોડ, રેવડીયા મહાદેવ મંદિર સામે આવેલા પ્લોટ નં. 06, ભરવાડવાસ ખાતે રેઇડ કરતા અહીંયાથી આરોપી સાદુલભાઈ ભોપાભાઈ ભરવાડ (ઉંમર 46) રંગે હાથે પકડાયો હતો. આરોપી રામદેવ ગેસ એજન્સી, હરણી રોડ, રૂપમ સિનેમા સામે, ચંદ્રગુપ્ત કોમ્પ્લેક્સમાં બજાજ અતુલ થ્રી-વ્હીલર ટેમ્પો ચલાવતો હતો અને એજન્સીમાંથી મળેલા 25 ભારત ગેસના ઘરેલુ સિલિન્ડરોને ગ્રાહકોને ડિલિવરી કરવાના બદલે પોતાના ઘરે લઈ જઈને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ સિલિન્ડરોમાં ગેસ ટ્રાન્સફર કરતો હતો. પોલીસે 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યોરેઇડ દરમિયાન સ્થળ પરથી કુલ રૂ. 1,35,264ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં ટેમ્પો, 25 ભારત ગેસ સિલિન્ડરો, અડધા ભરેલા 4 કોમર્શિયલ સિલિન્ડરો, 1 એચ.પી. ગેસ સિલિન્ડર, મોબાઇલ ફોન, દોરી-ઢાંકણા, વજન કાંટો, રિફિલિંગ સાધનો તથા ડિલિવરી ચલણ, આધારકાર્ડ અને લાઇટબિલની નકલોનો જપ્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:05 am

2% કેસમાં એસિડ એટેક જરૂરી, ડોક્ટર પાસેથી મળી સનસનીખેજ ચિઠ્ઠીઓ:સુરત કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકનાર વૃદ્ધે લખ્યું- 'પત્ની માનસિક રોગી, દીકરીઓ મને દુશ્મન ગણે છે’

સુરત શહેરની કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકી પોતે ઝેરી દવા ગટગટાવનાર 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર પાસેથી મળેલી ચિઠ્ઠીઓએ અનેક રહસ્યો ખોલ્યા છે. જેમાં ડોક્ટર દ્વારા પોતાની વર્ષોની પીડા, કૌટિંબિક વિખવાદ અને પત્ની-પુત્રીઓ પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો. ચિઠ્ઠીમાં તેમણે ચોંકાવનારું લખાણ લખ્યું છે કે, 'પત્ની માનસિક રોગી, દીકરીઓ મને દુશ્મન ગણે છે’ અને સમાજમાં થતા 98% એસિડ એટેક બિનજરૂરી, પરંતુ 2% કિસ્સોમાં જરૂરી હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, પોલીસને ઘટનાસ્થળેથી કપડાની એક થેલી મળી આવી હતી, જેમાં 31 હજાર રૂપિયા રોકડા અને પાંચ અલગ અલગ કાગળના ટુકડાઓ (ચિઠ્ઠીઓ) મળી આવ્યા હતા. ડોક્ટરે પત્ની માનસિક રોગી હોવાનો દાવો કર્યોડોક્ટરે લખેલી ચિઠ્ઠઓમાં સૌથી વધુ આક્રોશ તેમની પત્ની વિરૂદ્ધ જોવા મળ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, મારી પત્ની માનસિક રોગી છે (ડિસ્લેક્સીયા હાયપરએક્ટિવ + એડલ્ટ AHDH). વધુમાં લખ્યું હતું કે, જેટલા એસિડ એટેક થયા છે તેમાં 98% (લગભગ) બિનજરૂરી હોય છે, પરંતુ 2% જરૂરી હોઈ શકે. એક સજ્જન વ્યક્તિ જેના ખુબ જ ઉપકાર છે તેને બરબાદ કરીને પણ નહીં છોડે તેના માટે બીજું શું હોય. '75 વર્ષની વૃદ્ધ અવસ્થામાં મારા ઉપર ભરણપોષણનો ખોટો કેસ'ચિઠ્ઠીઓમાં ડોક્ટરે લખ્યું હતું કે, સમાધાનની પ્રમાણિક ફોર્મ્યુલા... મારા તરફથી કોઈપણ શરત નથી. મારી 75 વર્ષની વૃદ્ધ અવસ્થામાં મારા ઉપર ભરણપોષણનો ખોટો કેસ કરી મને આર્થિક, શારીરિક, માનસિક, સામાજીક અને કૌટુંબિક નુકસાન થયું છે અને ભરણપોષણના નામે લગભગ રૂપિયા 1.50 લાખ પડાવી લીધા છે. જે હું પાછા માંગવાનો નથી. ચિઠ્ઠીમાં વધુમાં લખ્યું હતું કે, તમારા તરફથી કોઈ શરત મુકવાની નથી. પૈસાની કોઈ ડિમાન્ડ કરવાની નથી. સામસામે કેસ પાછા ખેંચી લેવાના છે. 'મારી દીકરીઓ મારી સાથે એક દુશ્મનની જેમ વર્તે છે'ડોક્ટરે ચિઠ્ઠીઓમાં પોતાની પુત્રીઓ પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મને કંગાળ કરવામાં મારી પત્ની અને પુત્રીઓએ કંઈ બાકી રાખ્યું નથી. કોર્ટમાં પણ મારી દીકરીઓ મારી સાથે એક દુશ્મનની જેમ વર્તે છે અને મને નફરત કરે છે. 'થેલીમાં પૈસા છે મારી અંતિમવિધીના લાકડા માટે'અન્ય એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, આ રકમ રૂપિયા 31,700 મારી અંતિમવિધી લાકડા માટે છે, તે રકમ એડવોકેટ જયદેવસિંહ (વિજયભાઈ) ચૌહાણને આપશો. મારા મૃત્યુ પછી મારો કોઈપણ નિર્ણય તેઓ લઈ શકશે. થેલીમાં પૈસા છે લગભગ 25,000 રૂપિયા તે ચૌહાણ સાહેબને આપવાના છે. મારી અંતિમવિધીના લાકડા માટે. મારા વતી ઘણા બધા પૈસા ચૌહાણ સાહેબે ચૂકવ્યા છે, તેઓ મારા સર્વસવ છે. વધુમાં લખ્યું હતું કે, મારા કોર્ટ કેસની સચ્ચાઈ એડવોકેટ ચૌહાણ સાહેબ જાણે છે. તેઓએ હંમેશા કાયદામાં રહીને જ મને સલાહ આપી છે. શું છે સમગ્ર ઘટના?13 માર્ચ 2026ના રોજ 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર થેલીમાં બધો જ સામાન લઈ કોર્ટમાં પહોંચ્યા હતા. ભરણપોષણના કેસમાં શરતો મંજૂર ન થતા ઉશ્કેરાયેલા ડોક્ટરે પત્નીનો ચોંટલો પકડી તેને પાછળ ખેંચી હતી અને બાદમાં ડાયરેક્ટ ચહેરા ઉપર એસિડ ફેંક્યો હતો. આ હુમલામાં પત્નીની ડાબી આંખમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે હુમલો કર્યા બાદ ડોક્ટરે તરત જ પોતાની પાસે રહેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પતિ-પત્ની બંનેની હાલત સ્થિરઉમરા પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં વૃદ્ધ ડોક્ટર વિનોદભાઈ અને તેમની પત્ની બંનેની તબિયત સ્થિર છે. ડોક્ટરને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે તેમની થેલીમાંથી મળેલી તમામ ચિઠ્ઠીઓ અને પુરાવાઓ કબજે કર્યા છે. વર્ષો જૂના પારિવારિક વિવાદનો આવો કરુણ અંજામ આવશે તેવી કલ્પના કોર્ટ પરિસરમાં હાજર કોઈએ કરી નહોતી. જ્યારે આરોપી ડોકટરની તબિયત ઠીક થશે ત્યારે તેની કાયદેસર ધરપકડ થશે. આ સમાચાર પણ વાંચો સુરત ફેમિલી કોર્ટમાં 10 હજારના ભરણપોષણમાં એસિડ-એટેકસુરત જિલ્લા સેવા સદનના એ-બ્લોકમાં આવેલા પાંચમા માળે આજે કાળજું કંપાવનારી ઘટના બની હતી. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણપોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધું હતું. જજની હાજરીમાં જ બનેલી ઘટનાને પગલે કોર્ટ રૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતોઆજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:05 am

ગિફ્ટ સિટીમાં હાઇબ્રિડ ગાંજાનું દુબઈ થાઇલેન્ડ કનેક્શન ખૂલ્યું:MBA થયેલા અંકિતે 54 ગ્રામ ગાંજો વેચી માર્યો, ઇન્ટરનેશનલ સિન્ડિકેટ ને સોશિયલ મીડિયા દ્વારા નશાનો કાળો કારોબાર

પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના પોશ ગણાતા શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડીને 26 લાખની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરી અંકિત કક્કડની ધરપકડ કરી રિમાન્ડ મેળવામાં આવ્યા હતાં. ત્યારે રિમાન્ડ દરમ્યાન અંકિત MBA ડિગ્રી ધારક ઉપરાંત સમગ્ર નશાના કારોબારના તાર દુબઈ અને થાઈલેન્ડ જેવા દેશો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ એક ચોક્કસ ઇન્ટરનેશનલ સિન્ડિકેટ દ્વારા સોશિયલ મીડિયાથી નેટવર્ક ચાલતું હોવાનો એસઓજી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગિફ્ટ સિટીના લકઝુરિયસ ફલેટમાંથી કાળો કારોબાર ચલાવતોતાજેતરમાં ગાંધીનગર SOGના પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે આવેલા ફ્લેટ નંબર 1235માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ હાઈપ્રોફાઈલ ફલેટમાં પોલીસ ત્રાટકતા ચકચાર મચી ગઈ હતી. તપાસ દરમિયાન બેડરૂમમાં રાખેલી બ્રાન્ડેડ બેગમાંથી 0.746 કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. સોશિયલ મીડિયાનું માધ્યમ, દુબઈ અને થાઈલેન્ડથી નેટવર્ક ઓપરેટ ત્યારે FSLના સાયન્ટિફિક ઓફિસર દ્વારા સ્થળ પર કરવામાં આવેલા પરીક્ષણમાં આ પદાર્થ હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું સાબિત થયું હતું, જેની બજાર કિંમત અંદાજે 26.11 લાખથી વધુ છે. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ રેકેટ માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું છે. ઝડપાયેલા આરોપી અંકિત રાજેશભાઈ કક્કડ (રહે. રાજકોટ/મોરબી) ની તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી દુબઈ અને થાઈલેન્ડથી ઓપરેટ કરવામાં આવતું હતું. MBA કરેલો અંકિત 10 મહિનાથી નેટવર્ક ચલાવતો હતોઆ હાઈડ્રોપોનિક ગાંજાના મોંઘા નશાના સોદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતા હતા. અંકિત છેલ્લા 10 મહિનાથી આ નેટવર્કમાં સક્રિય હતો અને સુરતથી માલ મંગાવી વડોદરામાં પણ વેચાણ કરતો હતો. આરોપી અંકિત કક્કડ MBA સુધીનો અભ્યાસ કરેલો છે. પરંતુ તે નશાના કાળા કારોબારમાં ગળાડૂબ હતો. 90,000થી વધુના તોતિંગ ભાડે ફ્લેટ રાખ્યો હતોતેણે પોલીસની નજરથી બચવા માટે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ કંપની Airbnb એપ્લિકેશન દ્વારા માસિક 90,000થી વધુના તોતિંગ ભાડે ફ્લેટ રાખ્યો હતો. તે રોજના 3,000 ભાડું ચૂકવતો હતો અને તેનું પેમેન્ટ ગૂગલ પે દ્વારા ઓનલાઇન કરતો હતો. પોલીસે આરોપી પાસેથી બે મોંઘા આઇફોન, ડિજિટલ વજન કાંટો અને રોકડ સહિત કુલ 26.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 54 ગ્રામ જેટલો ગાંજો પડીકીઓ બનાવીને વેચ્યોત્યારે પ્રાથમિક પૂછતાછમાં અંકિતે કબૂલાત કરી હતી કે, તેણે આ જથ્થો વડોદરાના તાંદલજા વિસ્તારમાં અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. જેમાંથી 54 ગ્રામ જેટલો ગાંજો પડીકીઓ બનાવીને વેચાણ પણ નાખ્યો હતો. એકાઉન્ટ્સના ટેકનિકલ એનાલિસિસથી ગ્રાહકો સુધી તપાસઆ નેટવર્ક કેટલું ઊંડું છે તે જાણવા માટે એસઓજી પોલીસે હવે સુરત, વડોદરા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી પણ વિગતો મંગાવી છે. આરોપી અંકિતના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ટેકનિકલ એનાલિસિસ દ્વારા તેના ગ્રાહકો સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફિયાન્સીએ અંકિતને જામીન મુક્ત કરાવી લીધોબીજી તરફ અંકિત કક્કડની કરતૂતોથી ત્રસ્ત તેના પરિવારે પણ છેડો ફાડી દીધો છે. જેને બરોડાની યુવતી સાથે ગાઢ પ્રેમ સંબંધ છે. જેની સાથે તેણે સગાઈ પણ કરી લીધી છે. આ પ્રકરણમાં અંકિતની ફિયાન્સી અને મિત્રો એજ વકીલ સહિતની ગોઠવણ કરી છે. આજે ​રિમાન્ડ પૂરા થતા અંકિતને તેની ફિયાન્સીએ વકીલ મારફત જામીન મુક્ત પણ કરાવી લીધો છે. મોટા નામો અને પેડલર્સની ધરપકડ થાય તેવી સંભાવનાપરંતુ SOG પી.આઈ. ભાટી આ ઇન્ટરનેશનલ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે સીડીઆર અને સોશિયલ મીડિયા ડેટાની ગહન તપાસ કરી રહ્યા છે. આ કેસમાં આગામી દિવસોમાં અનેક મોટા નામો અને પેડલર્સની ધરપકડ થાય તેવી સંભાવના છે. શું હોય છે હાઇડ્રોપોનિક્સ ગાંજો હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત સામાન્ય ગાંજા કરતા અનેકગણી વધારે હોય છે. તેનું મુખ્ય કારણ તેની ખેતી પાછળનો ખર્ચ અને તેમાં રહેલો નશાનો ઊંચો ડોઝ છે.સામાન્ય રીતે ખેતરોમાં ઉગતો ગાંજો 2,000થી 5,000 પ્રતિ કિલો મળી રહેતો હોય છે. જ્યારે હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત પ્રતિ ગ્રામમાં ગણાય છે. દેશના બજારમાં 1 ગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત 2,000થી વધુ સુધીની હોય છે. વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવતા આ ગાંજામાં THC નું પ્રમાણ ઘણું વધારે હોય છે જે તેને સામાન્ય ગાંજા કરતા વધુ નશીલો બનાવે છે. જેની ખેતી મોટાભાગે બંધ રૂમમાં કરવામાં આવે છે, જ્યાં તાપમાન, ભેજ અને પ્રકાશને કૃત્રિમ રીતે નિયંત્રિત કરવામાં આવે છે. આ ખેતીમાં માટી ન હોવાથી મૂળિયાં પોષક તત્વોને વધુ ઝડપથી શોષી શકે છે, જેનાથી છોડનો વિકાસ સામાન્ય ખેતી કરતા 30-50% વધુ ઝડપી થાય છે. સામાન્ય ગાંજામાં THC નશાકારક તત્વ 3%થી 5% હોય છે. જ્યારે હાઇડ્રોપોનિક્સમાં તે 25થી 30% સુધી હોઈ શકે છે. તેથી જ તેનો એક કિલોનો ભાવ 35 લાખથી વધુનો હોતો હોય છે. ગિફ્ટ સિટીમાં ગમે ત્યાં દારૂ પીવાની છૂટ ગિફ્ટ સિટીમાં માત્ર ઓળખપત્ર બતાવી શરાબ પી શકશો, ગુજરાત બહારના લોકોને પરમિટમાંથી મુક્તિ. ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT CITY)માં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે. હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. મહેમાનોની યજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે-તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. આ લોકોને ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર પીવાની છૂટ આપી છે. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એે પહેલાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:05 am

મિડલ ઈસ્ટમાં ‘ઓઈલ યુદ્ધ’ ! ખાર્ગ ટાપુ પર અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને UAEમાં તેલ ટર્મિનલ સળગાવ્યું

Middle East Oil War : મધ્ય-પૂર્વ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વૈશ્વિક ઊર્જા સંકટ તરફ વળી રહ્યું છે. શનિવારે સંયુક્ત આરબ અમીરાતના એક વિશાળ ઓઈલ ટર્મિનલમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના અમેરિકા દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ખાર્ગ દ્વીપ પર કરવામાં આવેલા ભીષણ હુમલાના ગણતરીના કલાકોમાં જ બની છે. યુએઈના દરિયાકાંઠાના શહેર ફુજૈરા તરફથી આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ફુજૈરા શહેર એક મોટું બંદર છે અને તેલના વેપારમાં તેની ભૂમિકા ઘણી મહત્વની છે કારણ કે ત્યાં મોટું નિકાસ ટર્મિનલ આવેલું છે.

ગુજરાત સમાચાર 14 Mar 2026 11:21 pm

ભાવનગર SOGનો સપાટો:ચિત્રામાંથી 1920 બોટલ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખસ ઝડપાયો

ભાવનગર શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા NO DRUGS IN BHAVNAGAR અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ચિત્રા GIDC વિસ્તારમાંથી 1920 બોટલો કિંમત રૂપિયા આશેર 3 લાખથી વધુના પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી માહિતી મુજબ SOGના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રા GIDC પ્લોટ નંબર 339/1, શોપ નંબર 5 ખાતે દરોડો કરતા દરમિયાન પોલીસને ત્યાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી અને નશા માટે વપરાતી 'કોડીન ફોસ્ફેટ' યુક્ત કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ​કુલ બોટલો 1920 ​કુલ કિંમત રૂપિયા 3,04,128 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ​પોલીસે આ ગેરકાયદેસર જથ્થા સાથે ભાવેશ અમોલખભાઈ દુધેલા ઉં.વ.50, રહે.દેવરાજનગર-1, પ્લોટ નં. બી/23 વાળાની ધરપકડ કરી છે, ​આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની જોગવાઈ મુજબ બોરતળાવ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:42 pm

સુરતના ભટારમાં લેપ્રસીના કેસથી ફફડાટ:જીવકોરનગર સોસાયટીમાં પાલિકાનો ડોર-ટુ-ડોર સર્વે, સ્થાનિકોએ કમિશનરને કરી રજૂઆત

ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર સમયાંતરે અનેક આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરતું આવ્યું છે. પરંતુ તાજેતરમાં ભટાર જેવા પોશ અને વ્યસ્ત વિસ્તારમાં આવેલા જીવકોર નગર સોસાયટીમાં લેપ્રસીનો એક શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને આ વિસ્તાર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાનથી માત્ર 50 મીટરના અંતરે હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. 30 વર્ષીય યુવકમાં લેપ્રસીના લક્ષણો દેખાયા હતામળતી માહિતી મુજબ, જીવકોરનગર સોસાયટીમાં રહેતા આશરે 30 વર્ષીય એક યુવકમાં લેપ્રસી (રક્તપિત્ત)ના લક્ષણો દેખાયા હતા. આ દર્દીએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે સારવાર બાદ દર્દી હાલ તેના વતનમાં જતો રહ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી શરૂજેવો આ કેસ પ્રકાશમાં આવ્યો કે, તરત જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. સોસાયટીમાં તાત્કાલિક અસરથી ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સર્વે દરમિયાન રહેવાસીઓને લેપ્રસી અંગેના જાગૃતિ પત્રકો વહેંચવામાં આવ્યા હતા અને લક્ષણો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. રહેવાસીઓનો આક્રોશ અને મ્યુ. કમિશનરને રજૂઆતસોસાયટીના અગ્રણી રહેવાસી લિનેશ શાહે આ ગંભીર મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. રહેવાસીઓનો મુખ્ય વિરોધ એ વાતનો છે કે તંત્ર દ્વારા તેમને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા નથી. રજૂઆતમાં ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓસર્વેનો સાચો હેતુ શું? જો એક જ કેસ હતો તો આખી સોસાયટીમાં આ પ્રકારે સર્વે કરવાની જરૂર કેમ પડી? શું આ રોગ ગંભીર રીતે ફેલાઈ રહ્યો છે? લેપ્રસી એક ચેપી રોગ હોવા છતાં, પુષ્ટિ થયેલા દર્દીને કેમ અવલોકન કે આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યો નથી? તેને વતન જવા દેવા પાછળનું કારણ શું? રહેવાસીઓને શંકા છે કે ખાનગી રહેણાંક સોસાયટીમાં કોઈ પ્રકારનું મેડિકલ શેલ્ટર અથવા કેર સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં આવા સેન્ટરો ચલાવવા માટે કાયદેસરની મંજૂરી છે કે કેમ? આ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી જેવા મહાનુભાવો રહે છે અને વસ્તીની ઘનતા પણ વધુ છે, ત્યારે આવા સમયે આરોગ્ય સુરક્ષામાં ક્ષતિ રહેવાસીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. આરોગ્ય વિભાગનો પક્ષ શું કહે છે પ્રોટોકોલ?આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, દર્દીની સારવાર શરૂ થઈ ગઈ છે અને તે સોમવારે પરત આવવાનો છે. જોકે, આ બાબતે લોકોમાં વિશ્વાસ બેસતો નથી. તબીબી પ્રોટોકોલ મુજબ, લેપ્રસીના દર્દીને જ્યારે મલ્ટી-ડ્રગ થેરાપી (MDT) ના પ્રથમ થોડા ડોઝ આપવામાં આવે છે, ત્યારે તે ચેપ ફેલાવવાની ક્ષમતા ગુમાવી દે છે. પરંતુ સોસાયટીમાં આ માહિતીના અભાવે લોકોમાં ડર વધુ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:37 pm

અંબે સ્કૂલ હરણીમાં પ્રિ-પ્રાયમરી ગ્રેજ્યુએશન ડે ઉજવાયો:નાના ભૂલકાઓને સર્ટિફિકેટ આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અપાયા

વડોદરા: અંબે સ્કૂલ - હરણી (CBSE યુનિટ) ખાતે ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ પ્રિ-પ્રાયમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે 'ગ્રેજ્યુએશન ડે' (પદવીદાન સમારોહ) ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ભૂલકાઓના પ્રિ-સ્કૂલના પ્રવાસને બિરદાવી તેમને પ્રાથમિક શિક્ષણના નવા વિશ્વમાં પ્રવેશવા બદલ શુભેચ્છાઓ પાઠવવાનો હતો. આ ગૌરવશાળી પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, અંબે સ્કૂલ - હરણીના ડાયરેક્ટર ભાવેશા શાહ અને મિત્તલ શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર આશિષ શાહ, તેમજ સીનિયર પ્રિન્સિપાલ અને CAO ધીરજ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. પ્રેપ-II (Prep II) ના વિદ્યાર્થીઓએ તેમનું પૂર્વ-પ્રાથમિક શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોવાથી, તેમને મહાનુભાવોના હસ્તે 'ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ' એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે ચેરમેન શ્રી અમિત શાહ અને અન્ય મહાનુભાવોએ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા. કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થના ગીતથી થઈ હતી. ત્યારબાદ પ્રિ-સ્કૂલ અને પ્રેપ-I ના નાના બાળકોએ સુંદર પ્રેરણાત્મક ગીત રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. શાળાના આચાર્યશ્રીએ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો, જેમાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રગતિની વિગતો દર્શાવવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ મંચ પરથી પોતાના અનુભવો વ્યક્ત કર્યા, ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. કાર્યક્રમના અંતે પ્રેપ-II ના બાળકોની વર્ષભરની સફરને દર્શાવતો એક મેમરી વીડિયો રજૂ કરવામાં આવ્યો, જે જોઈ વાલીઓ અને શિક્ષકો જૂની યાદોમાં ખોવાઈ ગયા હતા. આ યાદગાર સમારોહનું સમાપન શાનદાર ફિનાલે ડાન્સ સાથે થયું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:28 pm

એચ.એ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ 125મી વાર રક્તદાન કર્યું:60મા જન્મદિવસે કોલેજમાં ફરી રક્તદાન કરી અસાધારણ સિદ્ધિ મેળવી

અનિલ સિંહે પોતાના 60મા જન્મદિવસે એચ.એ. કોલેજમાં ૧૨૫મી વાર રક્તદાન કરીને એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા આ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિલ સિંહે 1987માં એચ.એ. કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થી તરીકે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. ત્યારથી તેઓ એક જવાબદાર નાગરિક તરીકે નિયમિતપણે રક્તદાન કરતા રહ્યા છે. ૪૦ વર્ષના ગાળામાં તેમણે કુલ 124 વખત રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે અનિલ સિંહની સમાજ પ્રત્યેની કૃતજ્ઞતા અને જવાબદારીની ભાવનાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે 125 વાર રક્તદાન કરવું એ એક મોટી સિદ્ધિ છે. આ અસાધારણ સિદ્ધિ બદલ એચ.એ. કોલેજ દ્વારા અનિલ સિંહને સન્માનપત્ર અને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાનો પ્રતિભાવ આપતા અનિલ સિંહે જણાવ્યું હતું કે બાળપણથી જ તેમનું ધ્યેય સમાજ સેવા કરવાનું હતું. તેમની આ અવિરત સેવાને કારણે કોલેજના અનેક વિદ્યાર્થીઓ રક્તદાન કરવા માટે પ્રેરિત થયા છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર ચેતન મેવાડાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:26 pm

નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન:આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત

ગત 45 વર્ષોથી માનવતાની સેવા એ આર્ટ ઓફ લિવિંગની ઓળખ રહી છે. નક્સલ પ્રભાવિત ગામોમાં પ્રથમ શાળા શરૂ કરવાની પહેલ હોય, દુષ્કાળથી પીડિત વિસ્તારોમાં નદીઓનું પુનર્જીવન કરવાનો સંકલ્પ હોય, અથવા તણાવ, આઘાત અને કુદરતી આપત્તિઓથી પીડિત સમુદાયોને ફરી સંભાળવાની દિશા બતાવવાનો પ્રયાસ હોય — સંસ્થાના આ તમામ કાર્યોને આગળ વધારવામાં સામાન્ય લોકોની અસાધારણ પ્રતિબદ્ધતા અને સેવા ભાવનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માનવતાની સેવા ના આ ૪૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ નામની રાષ્ટ્રવ્યાપી પહેલની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ એવા વ્યક્તિઓને સન્માનિત કરવાનો છે જેમની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ દેશભરના સમુદાયોને સશક્ત બનાવી રહ્યા છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા આ પુરસ્કારોનો હેતુ એવા લોકોના કાર્યને પ્રકાશમાં લાવવાનો છે, જેમનું યોગદાન ઘણીવાર ચર્ચામાં આવતું નથી, પરંતુ જેમના પ્રયત્નોએ પેઢીઓ સુધી લોકોના જીવન પર સકારાત્મક અસર પેદા કરી છે. આ પુરસ્કારના પ્રથમ સંસ્કરણમાં યુવા નેતૃત્વ, રમતગમત ક્ષેત્ર અને ઉદ્યોગ/વ્યવસાય દ્વારા પરોપકાર અને સેવાભાવ (philanthropy) ક્ષેત્રમાં કાર્યરત એવા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે, જે સત્યનિષ્ઠા, નિઃસ્વાર્થ સેવા અને શ્રેષ્ઠતાના મૂલ્યો દ્વારા સમાજને પ્રેરણા આપી રહ્યા છે. આ પહેલનો હેતુ સમાજમાં સકારાત્મકતા, સેવા અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક જનઆંદોલનને પ્રેરિત કરવાનો છે. સંસ્થાનો વિશ્વાસ છે કે જે કોઈ વ્યક્તિ પોતાના સમુદાયની સેવા કરે છે, તે ખરેખર એવો નાયક છે જેને સન્માન મળવું જોઈએ. આ એવોર્ડ માટે નીચે આપેલી લિંક દ્વારા આપ સમાજમાં જે લોકો આ રીતે નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે તેમને નામાંકિત (નોમિનેટ) કરી શકો છો, તેમજ આપ પોતાને પણ સેલ્ફ નોમિનેટ કરી શકો છો, અને આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.https://awards.artofliving.org/india/nominate ૧૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન દેશભરના સમુદાયો એકત્ર થઈ આવા પરિવર્તનકારકોનું વિવિધ જિલ્લાઓ માં સન્માન કરશે. આ એવોર્ડ્સ સાથે સાથે આર્ટ ઓફ લિવિંગના વિવિધ ચેપ્ટર્સ દેશભરમાં અનેક સેવા પ્રવૃત્તિઓનું આયોજન પણ કરશે. તેમાં વૃક્ષારોપણ અભિયાન, મહોલ્લા સ્વચ્છતા અભિયાન, નિઃશુલ્ક આરોગ્ય શિબિર (ખાસ કરીને મહિલાઓના આરોગ્ય અને પોષણ પર કેન્દ્રિત), તેમજ નવચેતના અને બાળચેતના જેવી વર્કશોપ્સનો સમાવેશ થશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:25 pm

બ્રાઇટ સ્કૂલનો રજત જયંતી વાર્ષિક મહોત્સવ યોજાયો:સર સયાજી નગર ગૃહ ખાતે 'અનંતમ કૃષ્ણમૂલ્ય' થીમ પર કાર્યક્રમનું આયોજન

ધ બ્રાઇટ સ્કૂલ દ્વારા તેના રજત જયંતી વર્ષ નિમિત્તે 'અનંતમ કૃષ્ણમૂલ્ય' થીમ પર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 14મી માર્ચના રોજ સર સયાજી નગર ગૃહ ખાતે યોજાયો હતો.મહોત્સવની શરૂઆત શાળાના સ્કૂલ રિપોર્ટની રજૂઆતથી થઈ, જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાએ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી વિવિધ સિદ્ધિઓ તથા યોજાયેલી પ્રવૃત્તિઓનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો.ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ અને શાળાના આચાર્યાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા બિરદાવવામાં આવી હતી.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી રંગબેરંગી અને સર્જનાત્મક નૃત્ય પ્રસ્તુતિઓ હતી. આ પ્રસ્તુતિઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત મૂલ્યો — જેમ કે સાહસ, નેતૃત્વ, સર્જનાત્મકતા, આનંદ અને જવાબદારી — ને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા, જે 'અનંતમ કૃષ્ણમૂલ્ય' થીમને જીવંત બનાવતા હતા.આ પ્રસંગે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રસિદ્ધ શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન નો સંદેશ પણ પ્રતિબિંબિત થયો. આ શ્લોક મનુષ્યને પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા અને ફળ પ્રત્યે આસક્તિ ન રાખવા પ્રેરણા આપે છે.કાર્યક્રમના અંતે આભારવિધિ બાદ રાષ્ટ્રીય ગાન સાથે સમાપન થયું. સમગ્ર મહોત્સવ દરમિયાન 'અનંતમ કૃષ્ણમૂલ્ય' — એટલે કે જીવનને માર્ગદર્શન આપતા શાશ્વત મૂલ્યો — જે ફાઉન્ડર જયેન્દ્ર શાહના જીવનમાં તેમજ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય છે, તેનું સિંચન છેલ્લા ૨૫ વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રહેશે તેવો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:23 pm

કડીની કોલેજમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાયો:'સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્ઝ્યુમર્સ' થીમ પર કાર્યક્રમ યોજાયો

એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે 14 માર્ચ, 2026 ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ Safe Products, Confident Consumers હતી. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા ગ્રાહકના અધિકારો અને જવાબદારીઓ અંગે પ્રવચનો, લઘુ નાટિકાઓ, ડિબેટ અને કાવ્ય પઠન જેવી વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ડૉ. ભાવિકભાઈ એમ. શાહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમણે વિદ્યાર્થીઓને સજાગ ગ્રાહક બનવા અને ભવિષ્યમાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ગ્રાહકોના અધિકારોથી વાકેફ કરવા શીખ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન કોમર્સ વિષયના અધ્યાપકો ડૉ. અલકાબેન પંચાલ અને ડૉ. તેજસભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:21 pm

ઊંઝાની શ્રી વિ.મ.પટેલ શાળામાં વાલી સંમેલન યોજાયું:વાલીઓએ રમતોત્સવ માણ્યો, બાળકોને વિવિધ પ્રવૃત્તિના ઇનામ અપાયા

ઊંઝાની શ્રી વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં શુક્રવાર, ૧૩ માર્ચના રોજ વાલી સંમેલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા પ્રવેશ અંગે ચર્ચા અને બીજા સત્રની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કેતનભાઈ પટેલે બીજા સત્ર દરમિયાન થયેલી બાળદિનની ઉજવણી, પિકનિક, પ્રવાસ, બાળમેળો, બાળસભા અને અન્ય શૈક્ષણિક બાબતો અંગે વાલીઓ સાથે ચર્ચા કરી હતી. વાલી સંમેલન બાદ દર વર્ષની પરંપરા મુજબ વાલીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોય-દોરો, કઠોળ વર્ગીકરણ અને દાણા ઉપાડ જેવી ત્રણ રમતોનો સમાવેશ થતો હતો. આ રમતોના વિજેતાઓને શાળા પરિવાર દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 12 અને 13 માર્ચ એમ બે દિવસ દરમિયાન, વર્ષભરની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બાળસભા અને બાળદિનની ઉજવણીના વિજેતા બાળકોને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:20 pm

VNSGU અંગ્રેજી વિભાગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો:'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર ચર્ચા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના અંગ્રેજી વિભાગ દ્વારા 10 અને 11 માર્ચના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું. 'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં દેશ-વિદેશના વિદ્વાનો, સંશોધકો અને શિક્ષણવિદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનો પ્રારંભ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશકુમાર ડેના સ્વાગત પ્રવચનથી થયો હતો. ત્યારબાદ પરિસંવાદના સમન્વયક ડૉ. સુનીલ શાહે પરિસંવાદના વિષય અને ઉદ્દેશ્ય અંગે પરિચય આપ્યો. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં અંગ્રેજી અભ્યાસક્ષેત્રમાં ઉભરી રહેલા નવા પ્રવાહો તથા આધુનિક ટેકનોલોજીના પ્રભાવ પર પ્રકાશ પાડી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પરિસંવાદ દરમિયાન અનેક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ડૉ. ડેવિડ પેરોડિને “Rehumanizing English Studies in the Age of Artificial Intelligence” વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત, ડૉ. દિલીપ બારડ, ડૉ. જેમ્સ સિમ્પસન અને ડૉ. આનંદ મહાનદે પ્લીનરી વ્યાખ્યાનો આપ્યા હતા. એચ.સી. ત્રિવેદી મેમોરિયલ લેકચર તરીકે ડૉ. કલ્પના પુરોહિતે “Retellings of Myth” વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદમાં હોંગકોંગ, થાઈલેન્ડ તેમજ ભારતના મધ્યપ્રદેશ, કેરળ અને ગુજરાત જેવા વિવિધ રાજ્યોમાંથી સંશોધકો જોડાયા હતા. આ વૈવિધ્યપૂર્ણ ઉપસ્થિતિના કારણે શૈક્ષણિક આદાન-પ્રદાનને નવી દિશા મળી અને ભારતીય તેમજ વૈશ્વિક સાહિત્યિક પરંપરાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. બે દિવસીય પરિસંવાદ દરમિયાન કુલ ૧૩૦ સંશોધનાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી ૧૦૩ સંશોધનાર્થીઓએ સંશોધનપત્રો રજૂ કર્યા હતા. રજૂ થયેલા સંશોધનપત્રોમાં રોજગારલક્ષી અંગ્રેજી, અંગ્રેજી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ યુગમાં અંગ્રેજી, બહુભાષી સંદર્ભમાં ભાષા પ્રાપ્તિ, AI અને સાહિત્યિક પ્રકારોનો વિકાસ તથા સર્જનાત્મક લેખન માટે AI જેવા આધુનિક વિષયોનો સમાવેશ થયો હતો. ઉપરાંત ઉત્તર-સંસ્થાનવાદી સાહિત્યનું પુનઃવાંચન, તુલનાત્મક અને વિશ્વ સાહિત્ય જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાપન સમારોહમાં ડૉ. મનીષ સિદ્ધપુરિયાએ અધ્યક્ષસ્થાનેથી સાહિત્ય અને ભાષા અભ્યાસની પ્રસ્તુતતા પર ભાર મૂક્યો અને સફળ આયોજન બદલ અંગ્રેજી વિભાગની પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે ડૉ. સુનીલ શાહે આભારવિધિ કરી તમામ વક્તાઓ, સંશોધકો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો. પ્રોફેસર સુનીલ શાહના સંકલન હેઠળ યોજાયેલ આ પરિસંવાદ સાહિત્ય, સંસ્કૃતિ અને ભાષા અભ્યાસ માટે એક મહત્વપૂર્ણ બૌદ્ધિક મંચ સાબિત થયો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:19 pm

લેબલ નહીં, લેવલથી જીવવું જોઈએ: મોરારિબાપુ:બગસરામાં 'માનસ મેઘાણી' રામકથામાં જોગીદાસ ખુમાણની રખાવટ અને રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ઝવેરચંદ મેઘાણી અને જાદુગર કેલાલ જેવા મહાન કલાકારોની કર્મભૂમિ અને જન્મભૂમિ ગણાતા બગસરામાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલી 'માનસ મેઘાણી' રામકથા આજે રામ જન્મોત્સવના પાવન પ્રસંગ સાથે સંપન્ન થઈ. પૂજ્ય મોરારિબાપુએ આજના કથા સંવાદમાં જીવન જીવવાની સાચી કળા અને સાધુતાના લક્ષણો પર ભાર મૂકતા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. લેબલ અને લેવલ વચ્ચેનો તફાવતકથાના આઠમા દિવસે મોરારિબાપુએ એક શિક્ષકની જિજ્ઞાસાનું સમાધાન કરતા જણાવ્યું કે, આ પંડાલમાં અચલ ચરિત્રની સરવાણી વહે છે, તેથી હજારોની જનમેદની વચ્ચે પણ તીવ્રતમ શાંતિ અનુભવાય છે. બાપુએ જીવનના મૂલ્યો સમજાવતા કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાના લેબલ (પદ કે હોદ્દા) થી નહીં, પરંતુ પોતાના લેવલ (કક્ષા કે સંસ્કાર) થી જીવવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે 11 પ્રકારના લોકોથી હંમેશા અંતર જાળવવું હિતાવહ છે. સાધુતાની નવી વ્યાખ્યા અને રામ જન્મસાધુ કોને કહેવાય તે સમજાવતા બાપુએ સચોટ શબ્દોમાં કહ્યું કે, જેનું જીવન સામું, સાદું અને સાચું હોય તેમજ જેનું અસ્તિત્વ સાબુ જેવું પરોપકારી હોય તે જ સાચો સાધુ છે. રામકથાના નવ કુળમાં સાધુ કુળ, મનુ કુળ, કપિ કુળ અને કવિ કુળનું વિશેષ મહત્વ છે. કથાના ક્રમમાં શિવ વિવાહ બાદ આજે યજ્ઞની ખીર પ્રસાદી દ્વારા પ્રગટ થયેલા બ્રહ્મચરિત્ર એટલે કે ભગવાન રામના પ્રાગટ્યની કથા વર્ણવવામાં આવી હતી. બાપુએ રામ જન્મ પાછળના 5 મુખ્ય કારણોનું સચોટ વિશ્લેષણ કર્યું હતું. મેઘાણીના પાત્રો અને રખાવટની સ્મરાંજલિઝવેરચંદ મેઘાણીની સાહિત્ય સૃષ્ટિને બિરદાવતા બાપુએ રખાવટ, સખાવત, ખરાવટ અને વ્યવહાર વટ જેવા ગુણોની ચર્ચા કરી હતી. તેમણે બહારવટિયા જોગીદાસ ખુમાણની નાનીબા સાથેની રખાવટ તથા કુંકાવાવ પાસે જમીન દાનમાં જેતપુર અને ગોંડલ રાજ્યની ખાનદાનીના પ્રસંગો યાદ કરી મેઘાણીને સ્મરાંજલિ અર્પી હતી. મનોરથી પરિવારના હર્ષાબા ગોહિલના વિવેકની પ્રશંસા કરતા બાપુ ભાવવિભોર થયા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિકથાના અંતિમ ચરણમાં ધારાસભ્ય જેવી કાકડીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા, ગોંડલના મહંત સીતારામ બાપુ તેમજ કલાકારો જીગ્નેશ કુંચાલા અને સુખદેવ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા. ભોજન વ્યવસ્થામાં ચીમનભાઈ વાઘેલા અને ભરતભાઈ ચાંદ્રાણીએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:01 pm

સંઘપ્રદેશમાં ગરમીનો પ્રકોપ, આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી:નવજાત શિશુઓ, વૃદ્ધો અને શ્રમજીવીઓ માટે ખાસ સૂચનો

સંઘપ્રદેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના છે. આ વધતી ગરમી લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરીએ લોકોને ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ગરમીની સૌથી વધુ અસર નવજાત શિશુઓ, બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલો પર થાય છે. આ ઉપરાંત, મજૂરો, ખેડૂતો, રસ્તા અને નિર્માણ કાર્યમાં જોડાયેલા કર્મીઓ, ખેલાડીઓ, સૈનિકો અને પોલીસ જવાનો જેવા જે વ્યક્તિઓ સીધા તડકામાં લાંબા સમય સુધી કામ કરે છે, તેમને પણ હીટસ્ટ્રોકનું જોખમ રહેલું છે. લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી હીટસ્ટ્રોક થઈ શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં શરીરનું તાપમાન ૧૦૪ ડિગ્રી ફેરનહીટથી ઉપર જવું, સખત માથું દુઃખવું, ચક્કર આવવા, પરસેવો ઓછો થવો, ત્વચા લાલ, ગરમ અને શુષ્ક થઈ જવી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્નાયુઓમાં નબળાઈ, ઉબકા-ઉલટી, સુસ્તી, હૃદયના ધબકારા તેજ થવા, શ્વાસ ચઢવો, માનસિક ભ્રમ અને બેહોશી જેવા ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. ગરમીના પ્રકોપથી બચવા માટે પ્રશાસને કેટલાક સૂચનો કર્યા છે. જેમાં વધુ પ્રમાણમાં પાણી પીવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં અથવા છાંયડામાં રહેવાની સલાહ અપાઈ છે. જો બહાર નીકળવું અનિવાર્ય હોય તો છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો. આછા રંગના, હલકા અને સુતરાઉ ઢીલા કપડાં પહેરવા તેમજ તડકાથી બચવા માટે માથું અને ચહેરો કપડાં કે સ્કાર્ફથી ઢાંકવો.ગરમીના દિવસોમાં લીંબુ પાણી, છાશ અથવા નારિયેળ પાણીનું વધુ સેવન કરવું જોઈએ. આહારમાં લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધારવાની પણ ભલામણ કરાઈ છે. આરોગ્ય વિભાગે લોકોને સોફ્ટ ડ્રિંક્સ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવા અપીલ કરી છે.ભરબપોરે કાળઝાળ ગરમીમાં ઘરમાંથી બહાર ન નીકળવું અને તડકામાં વધુ શારીરિક શ્રમવાળા કામ ટાળવા. ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલોએ બપોરના સમયે ઘરની અંદર જ રહેવું હિતાવહ છે. આ સૂચનોનું પાલન કરીને આપણે પોતાને અને પરિવારને ગરમીની ગંભીર અસરોથી સુરક્ષિત રાખી શકીએ છીએ.સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી અથવા કટોકટી માટે ટોલ-ફ્રી નંબર ૧૦૪ પર સંપર્ક કરવા અથવા નજીકના સ્વાસ્થ્ય અધિકારીની સલાહ લેવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:59 pm

ગોધરા સ્મશાનગૃહને ચાર મિત્રોએ ત્રણ નવી સગડીઓ અર્પણ કરી:તબીબ સહિતે સ્વખર્ચે સુવિધાઓ પૂરી પાડી

ગોધરા શહેરના બહારપૂરા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહને ચાર સેવાભાવી મિત્રો દ્વારા ત્રણ નવી લાકડાવાળી સગડીઓ અર્પણ કરવામાં આવી છે. આ મિત્રોએ પોતાના ખર્ચે આ સગડીઓ તૈયાર કરાવી સ્મશાનગૃહમાં સુવિધા વધારી છે. શહેરના પ્રકાશ દીક્ષિત, ડૉ. શ્યામસુંદર શર્મા, પપ્પીભાઈ અને તેમના એક અન્ય મિત્રએ સ્મશાનગૃહની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પહેલ કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અંતિમ વિધિ માટે આવતા પરિવારોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો હતો. આ ચારેય મિત્રોએ માત્ર આર્થિક સહયોગ જ નહીં, પરંતુ પોતાની જાત મહેનતથી આ ત્રણ નવી લાકડાવાળી સગડીઓ તૈયાર કરાવી હતી. ત્યારબાદ, આ સગડીઓ સ્મશાનગૃહને અર્પણ કરવામાં આવી. આ નવી સુવિધાથી અંતિમ વિધિ માટે આવતા પરિવારોને પૂરતી સગવડ મળશે. આ ઉપરાંત, મૃતદેહનું સન્માન જળવાઈ રહેશે અને સ્મશાનગૃહમાં વ્યવસ્થા વધુ સુચારૂ બનશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:57 pm

ગાંધીનગર લોક અદાલતમાં 21 હજારથી વધૂ કેસોનો નિકાલ:અકસ્માત વળતરમાં એક જ પરિવારને 1.20 કરોડ ચૂકવાયા, સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં આયોજિત 'નેશનલ લોક અદાલત' ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વની સાબિત થઈ છે. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આશિષ જે. એસ. મલ્હોત્રાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ અદાલતમાં પરસ્પર સમજાવટ અને મધ્યસ્થી દ્વારા એક જ દિવસમાં વિક્રમજનક 21,801 કેસોનો સુખદ અંત લાવવામાં આવ્યો છે. એક જ વર્ષના ટૂંકા ગાળામાં ન્યાય મળ્યોઆ લોક અદાલતની સૌથી મોટી સફળતા મોટર અકસ્માત વળતરના કિસ્સાઓમાં જોવા મળી હતી. ઉવારસદ પાસે આઈશર ટ્રકની અડફેટે જીવ ગુમાવનાર સેલ્સ મેનેજરના પરિવારને વર્ષ 2025માં નોંધાયેલા કેસમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ન્યાય અપાયો છે. 1.20 કરોડનો ચેક અર્પણ કરાયોજેમાં ટાટા એઆઈજી જનરલ ઇન્શયુરન્સ કંપની દ્વારા આ કેસમાં વારસદારોને એક કરોડ વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વકીલ એમ.જે. પરીખ અને એચ.બી. શાહના સક્રિય પ્રયાસોથી આટલી મોટી રકમનું સમાધાન શક્ય બન્યું હતું, જે ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્પેશિયલ સીટિંગ દ્વારા 3,585 ફોજદારી કેસોનો નિકાલસમગ્ર જિલ્લામાં વિવિધ શ્રેણીના કેસોમાં સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં લોક અદાલત પૂર્વેના 17,355 કેસો અને સ્પેશિયલ સીટિંગ દ્વારા 3,585 ફોજદારી કેસોનો નિકાલ કરાયો હતો. જ્યારે અકસ્માત વળતરના કુલ 275 કેસોમાં પક્ષકારો વચ્ચે કુલ રૂ. 6,05,47,000 ના વળતરની સમજૂતી થઈ હતી. સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી આ ઉપરાંત ચેક રિટર્ન, લગ્ન વિષયક વિવાદો અને જમીન સંપાદન જેવા સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી હતી. આમ ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસીએશન, જ્યુડિશિયલ ઓફિસરો અને મીડિએટરોની અથાગ મહેનતને પરિણામે અદાલતી કાર્યવાહીમાં પક્ષકારોના સમય અને નાણાંની મોટી બચત થઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:57 pm

મેઘરજના ભાજપ નેતા મહેશ ઉપાધ્યાયનું નિધન:મોડાસાના શીણાવાડ પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું

મોડાસાના શીણાવાડ GIDC પાસે માર્ગ અકસ્માતમાં મેઘરજના ભાજપ અગ્રણી મહેશ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ જિલ્લા યુવા ભાજપ મંત્રી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મહેશ ઉપાધ્યાય પોતાના કામકાજ અર્થે એક્ટિવા પર મોડાસા ગયા હતા. શીણાવાડ GIDC નજીક તેમનું એક્ટિવા અચાનક ઝાડ સાથે અથડાયું હતું. આ ઘટનામાં તેમને કપાળમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના વાહનચાલકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે મહેશ ઉપાધ્યાયને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોડાસા ખસેડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, ગરમીના કારણે ચાલુ એક્ટિવા પર ચક્કર આવી જતાં આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:48 pm

2026ની પ્રથમ લોક-અદાલત, 5.77 લાખ સમાધાન પાત્ર કેસોના નિકાલનો દાવો:ટ્રાફિક ઇ ચલણના 6.48 લાખ કેસોમાં 50.48 કરોડનો દંડ મળ્યો

વર્ષ 2026ના વર્ષની પહેલી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરરો તથા ઔધ્યોગિક તકરરો વિગેરે સ્વરૂપના આશરે 6.67 લાખ જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ. જે પૈકી 5.77 લાખ જેટલા કેસોનો નિવેડો આવેલ અને આશરે રૂપિયા 3063 કરોડના એવોર્ડ દોરવામાં આવ્યા હતાં. કુલ 13.98 લાખ પૂર્વ અને પોસ્ટ-લિટિગેશન કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને 3209 કરોડના એવોર્ડ પસાર કરવામાં આવ્યા હતા. ઇ-ચલણના કુલ 6.48 લાખ કેસો પૂરાઆ ઉપરાંત રાજ્યના કુલ 8.21 લાખ પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયેલ છે અને રૂપિયા 116.78 કરોડના એવોર્ડ દોરવામાં આવેલ છે. ઇ-ચલણના કુલ 6.48 લાખ કેસો પૂરા થયા હતાં જેનાથી રૂપિયા 50.48 કરોડ વસૂલી શકાયેલ. રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3581 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવેલ છે. 10 વર્ષ જૂના 764 કેસોનો સુખદ નિવેડો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષના અથાગ પ્રયાસના ભાગરૂપ રાજ્યભરની તમામ અદાલતોમાં યોજાયેલ મધ્યસ્થી એટલે કે કંસીલીએશનની વ્યવસ્થાના લાભના કારણે 10 વર્ષ જૂના 764 કેસોનો સુખદ નિવેડો આવેલ છે. ટારગેટેડ કુલ 6655 કેસો લોક અદાલતમાં ફેસલ કરવામાં આવેલા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:44 pm

શું તમારા ઘરમાં LPG સિલિન્ડર છે કે ગેસ પાઈપલાઈન ? જાણો કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા આદેશ

New LPG-PNG Rules : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય પર ગંભીર સંકત ઉભું થયું છે. સ્થિતિ એવી છે કે, તેની અસર ભારત પર પણ જોવા મળી છે. કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે, દેશ પાસે ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરતો સ્ટોક છે, છતાં અનેક રાજ્યોમાં LPG સિલિન્ડર લેવા માટે નાગરિકો લાઈન લગાવી રહ્યા છે. એટલું જ નહીં જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડરનું બુકિંગ પણ કરાવી રહ્યા છે, જેના કારણે વર્તમાન સ્થિતિમાં બુકિંગના આંકડાઓમાં ધરખમ વધારો થયો છે. યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર અસર થઈ છે, જોકે સરકાર તેની અસર ઘટાડવા માટે તમામ ઉપાયોગ કરી રહી છે. આ જ ક્રમમાં પેટ્રોલિયમ મંત્રાલયે LPG સિલિન્ડર અને ગેસ પાઈપલાઈન અંગે નવો આદેશ જાહેર કર્યો છે.

ગુજરાત સમાચાર 14 Mar 2026 9:43 pm

વીમા અધિકારી બની ગઠિયાએ વૃદ્ધ પાસેથી 19.5 લાખ પડાવ્યા:વિશ્વાસ જીતવા 8 મહિના સુધી 13 હજાર પેન્શન આપ્યું, રૂપિયા પરત ન કરતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને ગઠિયાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી પહેલા 25 લાખની અનક્લેમ્ડ વીમા રકમ આપવાની લાલચ આપી હતી. બાદમાં IPOમાં રોકાણ કરાવવાના બહાને વિવિધ ચાર્જ, GST અને પ્રોસેસિંગ ફીના નામે કુલ 20.09 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાંથી માત્ર 1.04 લાખ પરત આપ્યા બાદ ગઠિયાઓએ 19.05 લાખની છેતરપિંડી કરી હતી. જે બાદ રૂપિયા પરત ન મળતા વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની શંકા થઈ હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. સોલાના વૃદ્ધ સાથે 19.05 લાખની છેતરપિંડીસોલા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાયબર ઠગોનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી પહેલા વિશ્વાસ જીત્યો અને બાદમાં IPOમાં રોકાણના બહાને લાખો રૂપિયા પડાવી લીધા. વૃદ્ધ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. વર્ષ 2022માં તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે વીમા કંપનીમાંથી બોલતો હોવાનું કહી નવી વીમા પોલિસી અંગે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન વૃદ્ધે વિશ્વાસ રાખીને પોલિસી લેવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા સમય બાદ એક વ્યક્તિ તેમના ઘરે આવી જરૂરી ડોક્યુમેન્ટ તથા ચેક લઈ ગયો હતો. વીમા સલાહકાર અને ઉચ્ચ અધિકારી હોવાનું કહી ઓળખ આપી ફસાવ્યાવર્ષ 2023માં ફરી એકવાર વૃદ્ધને ફોન આવ્યો હતો. આ વખતે ફોન કરનાર શખ્સે પોતે સરકારના વીમા સલાહકાર અને ઉચ્ચ અધિકારી હોવાનું કહી ઓળખ આપી હતી. તેણે વૃદ્ધને જણાવ્યું હતું કે તેમના નામે અનક્લેમ્ડ વીમાની રકમ રિઝર્વ ફંડમાં પડી છે અને તે રકમ આશરે 25 લાખ રૂપિયા થાય છે. રકમ મેળવવા માટે પહેલા 10 ટકા ચાર્જ ભરવો પડશે તેવી વાત કરી ગઠિયાએ વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો. દર મહિને આશરે 13 હજાર રૂપિયા પેન્શન આપ્યાત્યારબાદ વધુ નફો મળશે તેવી લાલચ આપીને IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. ગઠિયાઓની વાતોમાં આવીને વૃદ્ધે પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે ગઠિયાઓએ વૃદ્ધને દર મહિને આશરે 13 હજાર રૂપિયા પેન્શન તરીકે આપવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની જાણ ને ફરિયાદ નોંધાઈ8 મહિના સુધી રકમ મળતા વૃદ્ધને કોઈ શંકા ગઈ નહતી. પરંતુ બાદમાં IPO એલોટમેન્ટ, GST, પ્રોસેસિંગ ફી અને અન્ય વિવિધ કારણો બતાવીને ગઠિયાઓએ વારંવાર પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. જુદી જુદી રીતે વૃદ્ધ પાસેથી કુલ 20.09 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાંથી માત્ર 1.04 લાખ રૂપિયા પરત આપ્યા હતા જ્યારે બાકીના 19.05 લાખ રૂપિયા પરત ન મળતા વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. જેથી વૃદ્ધે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:33 pm

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઈકને ભારતે સખત શબ્દોમાં વખોડી, કહ્યું,-'સાર્વભૌમત્વનું સન્માન જરૂરી'

Pakistan Afghanistan War: ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કડક શબ્દોમાં કહ્યું છે કે, ભારત અફઘાનિસ્તાની ધરતી પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓની નિંદા કરે છે, ભારત ફરી કહે છે કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતાનું પૂર્ણ સન્માન કરવું જોઈએ. ભારતે અમાનવીય કૃત્ય ગણાવ્યું રિપોર્ટ મુજબ, પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હુમલામાં અનેક મોત થયા છે. તે ઉપરાંત ઘણા ઘરો અને અન્ય નાગરિક સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે.

ગુજરાત સમાચાર 14 Mar 2026 9:31 pm

વેપારીને પર્સનલ CA એ જ દગો દીધો:રાજકોટમાં મહાવીર પેઢીના સંચાલક સાથે રૂ.57.10 લાખની છેતરપિંડી, પિસ્તોલ - કારતૂસ સાથે શખ્સ ઝડપાયો, સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

તમે તમારા પર્સનલ CA રાખ્યા હોય તો ચેતી જજો કારણકે રાજકોટમાં વેપારીને મળેલી લોનના રૂ.57.10 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જ વાપરી નાખ્યાની ઘટના બની છે. મહાવીર ટ્રેડિંગ પેઢીના સંચાલકે પોતાના CA સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શહેરના કોઠારીયા રોડ પર રહેતાં નિતિનભાઈ સાવલીયા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જતીન જાજલનું નામ આપતા જણાવ્યુ હતુ કે, પોતાને મહાવિર ટ્રેડીંગ કંપની નામથી પ્રોપરાઇટર પેઢી છે. જતીનભાઈ વર્ષ 2014 થી CA છે અને આઇટી રિર્ટન ફાઇલ કરવાનું નિયમીત રીતે કામ કરતા હતા. ફરીયાદી પોતાની પેઢીનાં રબ્બર સ્ટેમ્પ તથા લેટર પેડ તથા ડીજીટલ સીગ્નેચર,પરીવારના સભ્યોનાં પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક ખાતાને લગતા જરૂરી દસ્તાવેજો આરોપી CA ની ઓફીસે વિશ્વાસથી રાખતા હતા.આ દરમિયાન વર્ષ 2020 માં નીતિનભાઈને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટ કરવાનો હોય જે બાબતે લોન કરવા માટે વાત કરી હતી. જે બાદ શહેરના રણછોડ નગરમાં આવેલી એક્સિસ બેન્ક ની બ્રાન્ચમાંથી રૂ.50 લાખ ટર્મ લોન તથા રૂ.20 લાખની સી.સી. લોન મંજુર થઈ હતી. જે બાદ ફરીયાદીનાં બેંક એકાઉન્ટમાંથી મશીનરીનાં રૂ.68 લાખ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાં જમા થયા હતા. આમ છતા આ ફરીયાદીને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટની મશીનરી હાર્દીક ઇન્ડસ્ટ્રીઝમાંથી મળેલ નહીં. જેથી મશીનરી અપાવો અથવા લોન કેન્સલ કરાવો તેવું કહેતા CA એ કહ્યું કે, તમારા પત્ની ગીતાબેન તથા તમારા સાળા નિલેશભાઇ ગજેરાની એકાઉન્ટની જુની ઇન્કમટેકસની રૂ.50 લાખની એન્ટ્રી સુલટાવો બાદ તમને મશીનરી અપાવીશ. જેથી આરોપી જતીનના કહેવાથી ફરીયાદીએ પત્ની તથા સાળાની ઇન્કમટ્રેકસની જુની એન્ટ્રી સુલટાવવા સારૂ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાંથી રૂ.57.50 લાખ જમા થયા હતા. જે બાદ તે રૂપીયામાંથી ફરીયાદીએ તેની પત્ની ગીતાબેનનાં એકાઉન્ટમાં રૂ.20 લાખ તથા સાળા નિલેશભાઈ ગજેરાનાં એકાઉન્ટમાં રૂ.16.60 લાખ જમા કરાવ્યા હતાં. જે રૂપીયા આરોપીનાં કહેવા મુજબ તેના અલગ અલગ પરીચીતો અને સબંધીઓનાં બેંક એકાઉન્ટમાં કટકે કટકે ટ્રાન્સફર કરેલ હતા. જે બાદ પણ વેપારીને મશીનરી અપાવી નહીં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે વેપારીની અગાઉથી લીધેલી સહી વાળા કોરા કાગળોમાં બોગસ લખાણ લખ્યું હતું અને વેપારીની પેઢીનો સ્ટેમ્પ મારી કેન્સલેશન ઓફ મશીન ઓર્ડરનો બોગસ લેટર બનાવ્યો હતો. જે બનાવટી બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીના લોનના રૂ. 57.10 લાખ ઓળવી ગયા. જે અંગે FIR નોંધાતા પોલીસે ભેજાબાજ CA ને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. દેશી બનાવટની 2 પિસ્તોલ, 5 જીવતા કારતૂસ સાથે શખ્સની ધરપકડ રાજકોટમાં દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર રહેતા અને ડ્રાઇવિંગ કરતા 45 વર્ષીય સંજય ભીખુ ભૂપ્તાને પોલીસે દેશી બનાવટની 2 પિસ્તોલ, 5 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ભક્તિનગર અને ઉપલેટા પોલીસ મથકમાં ગૂનો નોંધાઈ ચૂક્યો છે. આ શખ્સે કોની પાસેથી આ હથિયાર લીધું અને શા માટે પોતાની પાસે રાખ્યું હતું ? કોને આ હથિયાર આપવાનો હતો તથા તેનો શા માટે ઉપયોગ કરવાનો હતો જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ ભાગીદારે પ્રૌઢને ગેરેન્ટર તરીકે રાખી રૂ.25 લાખની લોન લીધી કેશોદમાં રહેતા પ્રૌઢે જસદણમાં રહેતા પૂર્વે ભાગીદાર વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રૌઢની જાણ બહાર તેમની સહિ કરી ટોપઅપ લોનમાં તેમને ગેરેન્ટર તરીકે રાખી રૂ. 25 લાખની લોન લઇ લીધી હતી. હપ્તા ચૂકાઇ ગયાનો મેસેજ મળ્યા બાદ આ કારસ્તાનનો ભાંડાફોડ થયો હતો. કેશોદમાં રહેતા અને ત્યાં જ કમ્પ્યુટરની સંસ્થા ચલાવનાર બીપીનભાઈ જયંતીલાલ પંડ્યા (ઉ.વ.54) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જસદણના અક્ષર ઉર્ફે અક્ષય લાલજી છાયાણી અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે આવેલ જે.એમ. ફાઇનાન્સિયલ લી.ના જવાબદાર કર્મચારી તથા એજન્ટનું નામ આપી જણાવ્યું હતું કે, તેની પુત્રી રાજવી વડોદરામાં ગેમ એન્ડ ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી હતી જેથી તે વડોદરા અવરજવર કરતા હતા. વડોદરામાં અશ્વિનભાઈની રેસ્ટોરન્ટે જતા ત્યારે અક્ષરની મુલાકાત થઈ હતી. જે પછી તેની સાથે મળી ભાગીદારીમાં એક બંગલો લઈ પીજી શરૂ કર્યું હતું. 2025 માં ભાગીદારી છૂટી કરી નાખી હતી. ભાગીદારી છૂટી કર્યાના થોડા દિવસો બાદ રાજકોટની જે.એમ. ફાઇનાન્સમાંથી અક્ષર હપ્તો ચૂકી ગયાનો મેસેજ આવ્યો હતો. આ બાબતે ફરિયાદી અક્ષરને પૂછતા તેણે કહ્યું હતું કે, ખાલી ઓળખાણમાં નામ આપ્યું છે. જોકે બાદમાં ફરિયાદીએ અમદાવાદ સ્થિત ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચમાં તપાસ કરતા અક્ષર ઉર્ફે અક્ષય લાલજી છાયાણી,લાલજીએ તથા હંસાબેન છાયાણીએ પોતે લીધેલ લોનમાં ટોપઅપ લોન કરાવવા ગેરેન્ટર તરીકે ફરિયાદીની ખોટી સહીઓ તા. 2/8/2025 ના ડોક્યુમેન્ટ ફરિયાદીની જાણ બહાર જે.એમ. ફાઇનાન્સિયલની ઓફીસ ખાતે રજુ કર્યાનું માલુમ પડ્યું હતું. ફરિયાદીએ બાદમાં અયોધ્યા સર્કલ પાસે વિરલ હાઇટ્સમાં આવેલી જે.એમ.ફાઇનાન્સની ઓફિસે જઈ તપાસ કરતા રૂ.12.90 લાખ અને રૂ.12.10 લાખ મળી 25 લાખની લોન અક્ષરે આ ડોક્યુમેન્ટના આધારે લઈ લીધી હોવાનું માલુમ પડ્યું હતું.જેથી પ્રૌઢે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડાળી ગામે બંધ મકાનમાંથી રૂ.4.07 લાખની ચોરી રાજકોટ-ભાવનગર રોડ પર આવેલા વડાળી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ રૂ. 4 લાખ, બે ચાંદીના સિક્કા સહિત રૂ.4.07 લાખની મત્તા ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે. ગોંડલ રોડ પર પુનિતનગર શેરી નંબર ત્રણ આશાપુરા નિવાસમાં રહેતા મૂળ વડાળી ગામના વતની વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.41) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમને પિતાની માલિકીની જમીન વડાળી ગામે આવેલી છે. વાડીએ મકાન છે. ગત તા. 10/3 ના રોજ બપોરના તેઓ અહીં ગયા હતા ત્યારે તેમણે મકાનમા લોકરમાં ચાર લાખ રોકડ અને ગીફટમાં મળેલા ચાંદીના સિક્કા રાખ્યા હતા. બાદમાં 13 માર્ચે ફરિયાદી અહીં વડાળી ગામે આવેલા પોતાના ઘરે આવતા મકાનના તાળા તૂટેલા હતા. તપાસ કરતા લોકર તોડી તેની અંદર રાખેલ રોકડ રૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા, એક ચાંદીનો હાથમાં પહેરવાનો પંજો, એક બલોયુ સહિત 25 ગ્રામ ચાંદી કિં.રૂ.1000 મળી કુલ રૂપિયા 4.07 લાખની મત્તા ચોરી થઈ ગઈ હતી. જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે કાર ઠોકરે રિક્ષામાં લગ્ન પ્રસંગથી પરત આવતા 5 ને ઈજા હીરાસર એરપોર્ટ પાસે રાજકોટ અમદાવાદ હાઇવે પર કારે રીક્ષાને ઠોકર મારી હતી. જેમાં લગ્ન પ્રસંગેથી પરત આવતા ઉમરસોડ ગામના પરિવારનાં પાંચ લોકોને ઈજા થઈ હતી.બામણબોર નજીમ ઉમરસોડ ગામે રહેતા જેસિંગભાઈ ભગાભાઈ બાવરીયા (ઉંમર વર્ષ 35), તેમના પત્ની શારદાબેન (ઉં.વ. 32), પુત્રી પ્રિયા (ઉં.વ. 14) શિલ્પા (ઉં.વ. 14) અને પુત્ર રોનક (ઉં.વ.9)ને ઈજા થઈ હતી.તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવારે જણાવ્યું કે, શારદાબેનના માસીના દીકરાના લગ્ન હતા. જેમાં માંડવાની વિધીમાં બધા ગયા હતા. જ્યાં હાજરી આપી પરત રિક્ષામાં બેસી ઉમરસોડ જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પતિએ તું મરી જા નહિંતર હું મારી નાખીશ તેવું કહેતા પત્નીએ ઝેરી દવા પીધી, સાસરિયા સામે ત્રાસની ફરિયાદ ઓમનગર સર્કલ નજીક ધરમનગરમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ ઘરખર્ચના પૈસા આપતો ન હોય અને પૈસા માંગતા મારકૂટ કરી મરી જવાનું કહેતો હોય પરિણીતાએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જે અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ નજીક રહેતી 32 વર્ષીય પરિણીતા સંગીતાબેન રમેશભાઈ મેરીયાએ આરોપી તરીકે પતિ રમેશ મેરિયા, સસરા વિનોદભાઈ, સાસુ મંજુબેન, જેઠ નરેશભાઈ અને દિલીપભાઈનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી પતિ, સાસુ-સસરા, મોટા જેઠ નરેશભાઈ, જેઠાણી શિલ્પાબેન, તેનાથી નાના જેઠ દિલીપભાઈ તથા જેઠાણી શીતલબેન અને દીકરી માનસી (ઉં.વ.11) તથા દીકરો નિશાંત (ઉં.વ.09) સાથે રહે છે. તેણીના લગ્ન વર્ષ 2014 માં થયા હતા. સસરા વિનોદભાઈ ભૂગર્ભ ગટર પાઇપલાઇનનો કોન્ટ્રાકટ રાખે છે અને પતિ તેમાં મજૂરીકામ કરે છે. ઘરનો તમામ વહીવટ સાસુ-સસરા ચલાવે છે. જેથી ઘરમા પૈસાની જરૂરીયાત હોય ત્યારે તેમની પાસેથી માંગણી કરવાની રહે છે. લગ્નના આશરે 1 વર્ષ બાદથી જ પતિ વચ્ચે મનમેળ રહેતો ન હોય નાની નાની વાતમાં ઝઘડાઓ થતા રહે છે. પતિએ સસરા અને જેઠ સાથે કામ કરતા હોય તેમની પાસે કામના પૈસા માંગતા આપતા ન હતા. જેઠ દિલીપભાઈ માતાજીના ભુવા હોય જ્યારે તેની પત્ની માસિક સ્ત્રાવમા હોય ત્યારે તેના માટે રસોઈ બનાવવા માટે સાસુ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા જેથી રસોઈ બનાવવી પડતી હતી. છેલ્લા 5 વર્ષથી રસોઈ અલગ બનાવીએ છીએ. જે બાદથી મારા પતિએ તે અને તારા બાપે મને મારા મા-બાપથી અલગ કર્યો છે કહી અવારનવાર ઝઘડો કરીને માર મારે છે. માતા-પિતાને અપશબ્દો બોલે છે અને કહે છે કે, તારી છોકરીને લઈ જા મારે નથી જોઈતી. ગત તા.02 ના રોજ હોળીનો તહેવાર હોય પતિ પાસે સંતાનો માટે હોળીના રંગો અને પીચકારી લેવા માટે રૂપિયા માંગતા તેને કહેલ કે મારી પાસે અત્યારે પૈસા નથી. ત્યારબાદ બીજા દિવસે રૂપિયા માંગતા પતિએ ઢીકા પાટુનો માર માર્યો અને કહ્યું કે, તુ મરી જા નહીતર હુ તને મારી નાંખીશ. આ ઉપરાંત કહ્યુ કે, તુ દવા પી જા નહીતર હું તને દવા પીવડાવી દઈશ. જેથી પરિણીતાએ જિંદગીથી કંટાળી ગત તા. 04 ના સાંજના 5 વાગ્યે ઘઉંમા નાંખવાના ટીકડા પી લીધા હતા. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મુસાફરોની રોકડ સેરવી લેતો રિક્ષા ચાલક ઝડપાયો નાનામવા સર્કલ નજીકથી યુવાનને રિક્ષામાં બેસાડી રૂ.48 હજારની રોકડ સેરવી લેવાઈ હતી. બેંકમાં નાણાં જમાવી પરત ફરી રહેલા યુવકને રીક્ષામાં ડ્રાયવર સીટની બાજુમાં બેસાડી પાછળના ખિસ્સામાંથી રોકડ કાઢી લઇ યુવકને ઉતારી દઈ રીક્ષાચાલક નાસી ગયો હતો. જે મામલે તાલુકા પોલિસની ટીમે ગણતરીની કલાકોમાં જ રીક્ષાચાલકને દબોચી રોકડ રિકવર કરી હતી. બનાવ અંગે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલ મવડી-કણકોટ રોડ પર દિવાળીબાગ પાર્ટી લોન્સમાં રહેતા 23 વર્ષીય શ્રમિક યુવાન સુધાન્યા બિમલભાઈ મંડલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 4 મહીનાથી સુરજ મંડપ સર્વિસ દિવાળીબાગ પાર્ટી લોન્સમા મજુર તરીકે કામ કરે છે. ગેટ તા. 09 ના તેમને વતન જવાનુ હોવાથી શેઠ જીતુભાઈ પટેલ પાસેથી મજુર પીન્ટુ તથા ઇંદ્રજીત, રાજેશ, સુમને મજૂરી પેટે કુલ 1 લાખ મળ્યા હતા. જે રૂપિયા બીજે દિવસે તા.10 ના મિત્ર પિન્ટુના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાં ગયો હતો. જ્યા એક લાખ એક સાથે જમા નહિ થતા માત્ર રૂ.29 હજાર પીન્ટુના ખાતામાં જમા કરાવ્યા હતા અને બાકીના રૂ.51 હજારમાથી રૂ.3 હજાર ખર્ચા માટે સાઈડમાં રાખી બાકીના રૂ.48 હજાર મે મારા પેન્ટના પાછળના ખીસ્સામા રાખ્યા હતા. જે બાદ રૂમે આવવું હોવાથી નાનામવા સર્કલથી ભીમનગર સર્કલ આવવા માટે રોડ ઉપર એક અજાણ્યા રિક્ષા ચાલકને હાથ ઉંચો કરી ઉભો રાખ્યો હતો. જે રિક્ષા ચાલકને ભીમનગર જવાનુ પુછતા તેણે મને હા પાડી રિક્ષામાં ડ્રાઈવરની બાજુની સીટમા આગળ બેસાડ્યો હતો. જ્યારે રિક્ષામા પાછળની સીટમાં અન્ય એક અજાણ્યો શખ્સ બેસેલ હતો. નાના મવા સર્કલથી થોડા આગળ જતા શ્રી રામ મસાલા માર્કેટ પાસે રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી મને જણાવેલ કે મારી રિક્ષા ભીમનગર નથી જતી કહી મને ઉતારી દીધો હતો. જે બાદ મેં મારા પેન્ટના પાછળના ખીસ્સામા જોતા રૂ. 48 હજાર મળ્યા ન હતા. જેથી રિક્ષા ચાલકને મારા પૈસા બાબતે પુછતા તેણે તેની રિક્ષા પુરઝડપે ત્યાથી ભગાડી મૂકી હતી. જે અંગે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી ભરત મૂળજી ચંદ્રપાલ (ઉં.વ.20, રાજકોટ)ની ધરપકડ કરી રૂ. 29 હજારની રોકડ રીકવર કરી રીક્ષા કબ્જે કરી હતી. જૂની અદાવતમાં યુવાન પર છરીથી હૂમલો શહેરના લોધેશ્વરમાં જુની અદાવતમા શૈલેષ જરીયા પર અર્જુન ઉર્ફે મેરીયાએ છરીથી હુમલો કર્યો હતો. 30 વર્ષીય શૈલેષને છરીનો ઘા લાગી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો છે. જે અંગે માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં શૈલેષભાઈ ધનસીંગભાઈ જરીયા (લોધા) (ઉં.વ. 30)એ જણાવ્યું કે, હું ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટી ખાતે મારા પરિવાર સાથે રહું છું. એક મહિના પહેલા મારા ઘરની સામે રહેતા અર્જુન ઉર્ફે મેરીયો સાથે માથાકૂટ થઈ હતી. જેથી ગત તા.13/03/2026ના રાત્રીના આશરે 10 વાગ્યેની આસપાસ હું તથા મારો મોટો ભાઈ શનિ ઘરની બહાર શેરીમાં ઊભા હતા ત્યારે અર્જુન ઉર્ફે મેરીયો અમારી પાસે આવ્યો અને જૂની બાબતનો ખાર રાખી મને ગાળો આપવા લાગ્યો. જેથી મેં તેને ગાળો દેવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો અને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી મને પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જે બાદ મને કહ્યું કે, આજે તો તને જાનથી મારી નાખીશ. તે દરમિયાન આજુબાજુ માણસોનું ટોળુ ભેગું થઈ જતા આ અર્જુન ત્યાંથી નાસી ગયો હતો. યુવાનને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:26 pm

બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે શરબતનું વિતરણ કર્યું:ગરમીમાં રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડક આપી

બોટાદ જિલ્લામાં ગરમી અને ઓરેન્જ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ટ્રાફિક પોલીસે એક માનવતાપૂર્ણ પહેલ કરી છે. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એ.એમ. રાવલ અને તેમની ટીમે શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે રાહદારીઓ અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ઠંડક આપવા માટે વરીયાળી શરબતનું વિતરણ કર્યું હતું. આ સેવા કાર્ય ગરમીની તીવ્રતા વચ્ચે લોકોને રાહત મળે અને તેઓ હીટવેવથી બચી શકે તે હેતુથી હાથ ધરવામાં આવ્યું હતું. પસાર થતા અનેક વાહનચાલકો અને સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસની આ પહેલને સરાહનીય ગણાવી હતી. આ પહેલ દ્વારા પોલીસે ગરમીના કપરા સમયમાં ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત લોકસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:23 pm

વેરાવળ પબ્લિક ગાર્ડનમાં મોબાઈલ ઉઠાંતરીની ઘટના CCTVમાં કેદ:નવીનીકરણ બાદ ખુલ્લો મુકાયા બીજા જ દિવસે વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાયો, પોલીસ તપાસ તેજ

વેરાવળ શહેરમાં તાજેતરમાં નવીનીકરણ બાદ જનતા માટે ખુલ્લો મુકાયેલા પબ્લિક ગાર્ડનમાં મોબાઈલ ઉઠાંતરીની ઘટના સામે આવતાં શહેરમાં ચકચાર મચી છે. ડો. આંબેડકર પાર્ક વિસ્તારમાં બનેલી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસ માટે તપાસમાં મહત્વપૂર્ણ સૂત્ર મળ્યા છે. મળતી માહિતી મુજબ બાબુભાઇ ગોહેલ નામના વૃદ્ધ વ્યક્તિ પબ્લિક ગાર્ડનમાં તેની પૌત્રી સાથે ફરવા આવ્યા હતા અને ત્યાંથી બહાર નીકળતા સમયે અજાણ્યા વ્યક્તિએ તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ઉઠાંતરી કરી લીધો હતો. આ ઘટના એટલી ચતુરાઈથી કરવામાં આવી કે શરૂઆતમાં વૃદ્ધને તેનો ખ્યાલ પણ આવ્યો નહોતો. થોડા સમય બાદ મોબાઈલ ન મળતા તેમને ચોરીની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને પબ્લિક ગાર્ડનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ વૃદ્ધના નજીક આવી મોબાઈલ ઉઠાંતરી કરતો હોવાનો દ્રશ્ય કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ ગઠીયા ગેંગનો સાગરીત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પબ્લિક ગાર્ડનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની સુવિધા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે, કારણ કે તેના કારણે ઘટનાનો ખુલાસો ઝડપથી થઈ શક્યો છે. આ બનાવને કારણે શહેરના જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. જોકે CCTV કેમેરાની “ત્રીજી આંખ”ના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર હવે કડક નજર રહેશે અને આવનારા સમયમાં આવા ગુનાઓને રોકવામાં મદદ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના ભોગ બનનાર વૃદ્ધ બાબુભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે તેઓ પાર્કમાંથી બહાર નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની ખિસ્સામાંથી મોબાઈલ ઉઠાવી લીધો હતો. પોલીસે મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપવા માટે પ્રયાસો ચાલુ રાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:22 pm

ઠાકરશી રબારીને દીકરી પરત અપાવવા ચૌધરી મા-બાપની વિનંતી:ભાભરના રૂણીની માતાએ કહ્યું,ઉણનો રબારી મારી દીકરીને ઉપાડી ગયો, કિંજલ રબારીને પરત સોંપાતા વીડિયો વાઈરલ કર્યો

રાજ્યમાં બહુચર્ચિત થયેલા કિંજલ રબારીના પ્રેમપ્રકરણમાં ઘીના ઠામમાં ઘી પડ્યુ છે. ત્યારે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વીડિયો વાયરલ કરીને ચૌધરી માતા-પિતાએ દીકરીને પરત મેળવવા માટે ઠાકરશી રબારીને વિનંતી કરી છે. માતાએ રડતા-રડતા કહ્યું છે કે ઉણ ગામનો રબારીનો દીકરો ઉપાડી ગયો છે અને તેને ઘરે લાવી આપો. બનાવ શું છે?વાવ-થરાદના ભાભર તાલુકાના રૂની ગામેથી બે વર્ષ અગાઉ ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજના દીકરો ભગાડી ગયાનો આરોપ લાગ્યો છે. દીકરીના પરિવારે પોલીસમાં જાણવાજોગ પણ ફરિયાદ આપી હતી. અને દીકરીને પરત મેળવવા માટે ઉણ ગામે પણ ગયા હતા. પણ તેમને સહકાર ન મળ્યાનું દીકરીના પિતાએ જાણાવ્યું છે. હવે ઠાકરજી રબારીએ એક દીકરીને તેના પરિવાર સાથે મિલન કરાવતા તેમને પણ તેમની દીકરી સાથે મિલન કરાવવા વિનંતી કરી છે. દીકરીના પિતાએ શું કહ્યું?દીકરીના પિતા જગમાલભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, બે વર્ષ અગાઉ કાંકરેજના ઉણ ગામનો માદેવભાઈ રબારી તેમની સગીર દીકરીની ભગાડી ગયો છે. તેઓ સંબંધીના ત્યાં બેસણામાં ગયા ત્યારે ઘટના બની હોવાનું જણાવ્યું છે. સાથે તેઓ બે દિવસ ઉણ ગામે પણ ગયા પણ કોઈ સહકાર આપ્યો ન હોવાનો પર આરોપ લગાવ્યો છે. રબારી સમાજની દીકરીની અન્ય સમાજમાં આવતા તેને પાછી મોકલી છે. તો મારી દીકરીને પણ પરત મોકલી આપવા રબારી સમાજને વિનંતી કરી છે. દીકરીના પિતાની ઠાકરશીને વિનંતીજગમાલભાઈ ચૌધરીએ ઠાકરશી ભાઈને વિનંતી કરતા જણાવ્યું કે,તેઓ તેમના વીડિયો જોયા છે. અને બધાને મદદ કરે અને સેવાભાવી માણસ છે. તેઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ઉણ ગામનો રબારી અમને ગાંઠતો નથી.અમારી જમીન પણ ગીરવે પડી છે. તો મહેરબાની કરીને અમને મદદ કરો. દીકરીની માતા હજુ પણ રડે છેદીકરીની માતાએ રડતા રડતા કહ્યું કે, તેઓ પિયરમાં સામાજિક પ્રસંગમાં હતા ત્યારે તેમની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી ગયો છે. તો રબારી સમાજના આગેવાનો તેમને તેમની દીકરી પરત આપવામાં મદદ કરે તેવી વિનંતી કરી છે. 2024માં નોંધાઈ હતી ફરિયાદબે વર્ષ અગાઉ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 31/03/2024ના રોજ જગમાલભાઈ ચૌધરી તેમના દીકરી અને દીકરા સાથે ઘરે હતા અને તેમના પત્ની પિયર ગયા હતા. રાત્રે તેઓ ઉંઘમાંથી જગ્યા તો તેમની દીકરી કંકુબેન ઘરમાં હાજર ન હતી. તેમને આસપાસ તપાસ કરી, પણ કંકુની ભાળ મળી ન હતી. આખરે તેમણે 01/04/2024ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં 18 વર્ષની કુંકુબેનની ગુમ થયાની જાગવાજોગ ફરિયાદ આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:03 pm

બોટાદ ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો:ગાળા ગામ ડેમનું કામ ક્યારે શરૂ થશે?, જવાબમાં, સંબંધિત મંત્રીએ કહ્યું- ટૂંક સમયમાં આ અંગેનો સંપૂર્ણ અહેવાલ મોકલીશું

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગઢડા તાલુકાના ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ધારાસભ્ય મકવાણાએ જણાવ્યું હતું કે, ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના અગાઉ સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી. જોકે, તેમની રજૂઆત બાદ આ યોજના ફરીથી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ યોજનાની કામગીરી ક્યા તબક્કે પહોંચી છે અને ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ થશે? આ પ્રશ્નના જવાબમાં, સંબંધિત મંત્રીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટૂંક સમયમાં આ અંગેનો સંપૂર્ણ અહેવાલ મોકલી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:47 pm

સુરેન્દ્રનગરમાં 68.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:સાયલાના સુદામડા ગામે LCBએ દરોડો પાડ્યો, દારૂ સાથે બે આરોપીને ઝડપ્યાં

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાંથી રૂ. 68.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સરકારી ખરાબામાંથી 9540 નાની-મોટી બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 53.64 લાખ), એક ટ્રક (કિંમત રૂ. 15 લાખ) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) સહિત કુલ રૂ. 68,74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે LCBને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCB ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. બાતમીના આધારે સાયલાના સુદામડા ગામની સીમમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સાજીદ અહેમદખાન અને હાકમખાન ઉમરમહમદખાનનો સમાવેશ થાય છે, જેઓ હરિયાણા રાજ્યના નુહ જિલ્લાના ફિરોઝપુર તાલુકાના શેખપુર ગામના રહેવાસી છે. આ ગુનામાં ટ્રકના માલિક, દારૂનો જથ્થો મોકલનાર ઇસમ, દારૂ મંગાવનાર ઉદયભાઈ દાદભાઈ કરપડા (રહે. કળમાદ, તા. મુળી) અને હોટલ ખાતે દારૂ ભરેલી ટ્રક પહોંચાડનાર અજાણ્યા ઇસમની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. અજયસિંહ ઝાલા, દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. કૃણાલસિંહ ઝાલા, વજાભાઇ સાનીયા, મહેન્દ્રભાઈ દાદરેસા, ગીરીરાજસિંહ જાડેજા, મેહુલભાઇ મકવાણા અને ડ્રા.પો. કોન્સ. પ્રધ્યુમસિંહ પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:33 pm

Explainer: ઈરાનનો 'કોહિનૂર' કેમ કહેવાય છે ખાર્ગ આઈલેન્ડ? જાણો અમેરિકાએ આ ટાપુ પર જ કેમ વરસાવ્યા બોમ્બ

US Attack On Iran's Kharg Island : અમેરિકાએ હવે પર્શિયન ગલ્ફમાં ઈરાન માટે કોહિનૂર ગણાતા ‘ખાર્ગ આઈલેન્ડ’ પર ભયાનક હુમલો કરીને મોટી તબાહી મચાવી છે. એવું કહેવાય છે કે, આ આઈલેન્ડ ઈરાનની આર્થિક જીવનરેખા સમાન છે. ઈરાન જે કુલ ક્રૂડ ઓઈલની નિકાસ કરતું હતું તેમાંથી 90થી 95 ટકા નિકાસ આ જ આઈલેન્ડ પરથી જુદા જુદા દેશોમાં થતી હતી. એટલે કે ઈરાન આ જ આઈલેન્ડ પરથી ક્રૂડ ઓઈલ વેંચીને મોટાભાગની કમાણી કરતું હતું અને તે જ નાણાંતી સરકારનો ખર્ચ ચાલતો હતો અને સેનાને પણ ફંડ મળતું હતું. ત્યારે હવે અમેરિકાએ ઈરાનના કોહિનૂર પર હુમલો કરતીને તેની આર્થિક કમર તોડી નાખી છે.

ગુજરાત સમાચાર 14 Mar 2026 8:28 pm

કચ્છમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ:7.93 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો, એક ફરાર

દસાડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 7.93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂની બોટલો અને એક કારનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર થયો છે. પોલીસને બાતમી મળી હતી કે કાળા કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (રજી. નં-GJ-01-RL-6080) માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. દસાડા પોલીસે આ ગાડીને આંતરીને તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડ દરમિયાન પોલીસે હિતેશભાઈ વાલજીભાઇ મણકા (રહે. કાકરવા, તા. ભચાઉ, જી. કચ્છ પૂર્વ- ગાંધીધામ) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે, આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી મુન્નાભાઈ શોઢા (રહે. રાપર, તા. રાપર, જી. કચ્છ પૂર્વ- ગાંધીધામ) પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂની બોટલો ઉપરાંત એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન (કિંમત રૂ. 5000/-), એક કીપેડ ફોન (કિંમત રૂ. 500/-) અને ક્રેટા ગાડી (કિંમત રૂ. 5,00,000/-) પણ જપ્ત કરવામાં આવી છે. કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 7,93,500/- થાય છે. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઇ. ખડીયાએ આ અંગે ફરિયાદ નોંધી છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન કલમ 65(એ)(ઇ), 81, 116(બી), 98(2) હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી ખુલશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:27 pm

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ:3 કિમીની ઊંચાઈ સુધી પહોંચ્યું, ખાનગી સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો ઇતિહાસ

અમદાવાદ નજીક ધોલેરાના બાવળીયારી ખાતે આજે ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ’ (OSRE) દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી. અવકાશ સંશોધન ક્ષેત્રે ગુજરાત માટે આ મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે. મંત્રી મોઢવાડિયાએ લોન્ચિંગ સ્થળે હાજર રહી સમગ્ર પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું અને યુવા વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. લોન્ચિંગ બાદ રોકેટ અંદાજિત 3 કિમીની ઊંચાઈ સુધી પહોંચ્યુંબાવળીયારી ખાતે નિર્મિત અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી 14 માર્ચના રોજ બપોરે લગભગ 1 વાગ્યે આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે ઉડાન ભરી હતી. રોકેટ આશરે 3 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચ્યું હતું અને આ દરમિયાન પ્રોપલ્શન સિસ્ટમ, એવિઓનિક્સ સિસ્ટમ તેમજ ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી મહત્વપૂર્ણ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રોકેટમાં એક મીની સેટેલાઇટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો, જે હવામાન સંબંધિત મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ પરીક્ષણ દ્વારા ભવિષ્યમાં વધુ આધુનિક અવકાશ મિશન માટે જરૂરી ટેક્નોલોજીની કસોટી કરવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ રોકેડની ડિઝાઈન અને નિર્માણ અમદાવાદમાં થયું‘મેક ઇન ઇન્ડિયા’ અભિગમ હેઠળ આ રોકેટનું ડિઝાઇનિંગ અને નિર્માણ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઇબર અને એડવાન્સ કમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે તે હળવું અને વધુ મજબૂત બને છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં યુવા વૈજ્ઞાનિકો અને ઇજનેરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. રાજ્ય સ્પેસ ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે- અર્જુન મોઢવાડિયાઆ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ‘ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030’ અંતર્ગત ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે આજે ગુજરાત અવકાશ સંશોધન ક્ષેત્રે નવી ઓળખ બનાવી રહ્યું છે. ખાનગી સ્પેસ સેક્ટરને મળતા સહયોગથી યુવા વૈજ્ઞાનિકોને નવી તકો મળી રહી છે અને રાજ્ય આત્મનિર્ભર સ્પેસ ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે. ઓમસ્પેસના સ્થાપક અને CEO ડો. રવિન્દ્ર રાજે જણાવ્યું હતું કે આ સફળ લોન્ચિંગ ભવિષ્યના મોટા મિશન માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. આ સફળતા પછી ભારતના સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ‘ઇન્ફિનિટી વન’ (Infinity One) બનાવવાનો માર્ગ વધુ સરળ બન્યો છે. તેમણે રાજ્ય સરકાર તથા સંબંધિત સંસ્થાઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ લોન્ચિંગ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા જરૂરી મંજૂરીઓ અને ટેકનિકલ સહયોગ આપવામાં આવ્યો હતો. આ મિશન IN-SPACe (ISRO) ની અધિકૃતતા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:21 pm

ન્યાયિક પ્રક્રિયામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા રાજ્ય કક્ષાનો કાયદાકીય સેમિનાર:પોલીસ, પ્રોસીક્યુશન તેમજ સરકારી તબીબોને કાયદાકીય સમજ અપાશે, આ પ્રકારની ટ્રેનિંગ માત્ર ગુજરાતમાં

ગુજરાત રાજ્યમાં ફોજદારી ન્યાય પ્રણાલીને વધુ સચોટ, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશનના નેજા હેઠળ સુરત ખાતે આવતીકાલે 15 માર્ચ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ કાયદાકીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી યોજાનારા આ સેમિનારમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો એક મંચ પર એકઠા થઈને ક્રાઈમ ટુ કન્વિક્શનની પ્રક્રિયાને મજબૂત કરવા મંથન કરશે. તપાસની પદ્ધતિમાં વૈજ્ઞાનિક અભિગમોનો ઉપયોગ કરાશેઆ કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા પોલીસ તપાસમાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. અત્યાર સુધી પરંપરાગત પુરાવાઓના અભાવે અનેક રીઢા ગુનેગારો કાયદાની છટકબારીનો લાભ લઈને નિર્દોષ છૂટી જતા હતાં. આ સ્થિતિને બદલવા માટે આ સેમિનારમાં મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ (FSL) ના અહેવાલો અને DNA ટેસ્ટિંગ જેવા અત્યંત મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતો દ્વારા સરકારી વકીલોને ટ્રેનિંગ આપવામાં આવશે કે કઈ રીતે કોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવાઓને મજબૂતીથી રજૂ કરવા, જેથી ન્યાયાધીશ સમક્ષ ગુનાની સાંકળ સ્પષ્ટ રીતે સાબિત કરી શકાય. ખાસ કરીને પોક્સો અને નાર્કોટિક્સ જેવા સંવેદનશીલ કેસોમાં જ્યાં પીડિત પક્ષને ન્યાય અપાવવો અનિવાર્ય હોય છે, ત્યાં વૈજ્ઞાનિક પુરાવાઓની ભૂમિકા નિર્ણાયક સાબિત થાય છે. 36 મહિનામાં પોક્સો કેસમાં 400થી વધુને સજાનયન સુખડવાલા મુખ્ય જિલ્લા સરકારી વકીલે જણાવ્યું હતું કે, છેલ્લા 36 મહિનામાં સુરત પોલીસે અને સરકારી વકીલોની ટીમે સાથે મળીને 400થી વધુ પોક્સોના આરોપીઓને સખત સજા કરાવવામાં સફળતા મેળવી છે. આ આંકડો રાજ્યમાં એક ઉદાહરણ સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પોલીસ તપાસ અને પ્રોસીક્યુશન વચ્ચે પૂરતું સંકલન હોય, ત્યારે ગુનેગાર ગમે તેટલો પ્રભાવશાળી હોય તો પણ તે બચી શકતો નથી. નવા ફોજદારી કાયદા અને અમલીકરણએ.આર. પટેલ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા જૂના અને બ્રિટિશકાળના કાયદાઓમાં ધરખમ ફેરફાર કરીને જે નવા ફોજદારી કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા વગેરે) અમલમાં મૂકવામાં આવ્યા છે, તેના પર આ સેમિનારમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂના કાયદાઓમાં રહેલી ક્ષતિઓને સુધારીને નવી કલમો ઉમેરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને ઝડપી ન્યાય અપાવવાનો છે. ભારત સરકાર દ્વારા આ કાયદાઓના અમલીકરણનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. 'તપાસ અધિકારીઓ માટે આ એક સુવર્ણ તક છે'સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ સેમિનાર અંગે જણાવ્યું હતું કે, આવતીકાલના કાર્યક્રમમાં શહેરના તમામ મહત્વના ઇન્વેસ્ટિગેશન ઓફિસરો (IO) હાજર રહેશે. તપાસ અધિકારીઓ માટે આ એક સુવર્ણ તક છે. સમાજ માટે હાનિકારક એવા ડ્રગ્સ માફિયાઓ અને મહિલાઓ-બાળકો વિરુદ્ધ ગુના આચરનારા તત્વોને કાયદાના શિકંજામાં કઈ રીતે જકડવા, તેની શીખ આ મંથનમાંથી મળશે. અમે તપાસની ગુણવત્તા એવી રાખવા માંગીએ છીએ કે નિર્દોષ વ્યક્તિને ક્યારેય અન્યાય ન થાય અને ગુનેગાર ક્યારેય છૂટી ન શકે. ગુજરાતભરમાં 12 ઝોનમાં ટ્રેનિંગ અભિયાનઆ પ્રકારની ટ્રેનિંગ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યના 12 ઝોનમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના મોટાભાગના ઝોનમાં આ કાર્યક્રમો પૂર્ણ થયા છે અને આવતીકાલથી દક્ષિણ ગુજરાતના ચાર મહત્વના જિલ્લાઓ માટે આ મંથન શરૂ થશે. સમગ્ર ભારતમાં આ પ્રકારની વ્યવસ્થિત ટ્રેનિંગ માત્ર ગુજરાતમાં જ આપવામાં આવી રહી છે, જે મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. 'ફરિયાદથી લઇને કોર્ટમાં ચાર્જશીટ સુધી લોકોએ જાણવું જરૂરી'એ.આર. પટેલ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે, અમે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી ફરિયાદ, તપાસ અને નિવારણ અંગેની એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે. ફરિયાદ લખાય ત્યાંથી લઇને કોર્ટમાં ચાર્જશીટ થાય ત્યાં સુધી લોકોએ શું જાણવું જરૂરી છે એ અંગેની એક પુસ્તિકા તૈયાર કરી છે. આવતીકાલે અમે એનું વિમોચન કરશું અને આવી પુસ્તિકા અમે તૈયાર કરી, છપાવી અને પૂરા ગુજરાતમાં દરેકને વહેંચીશું કે ગરીબમાં ગરીબ માણસ સુધી એ પુસ્તિકા જાય એવો અમારો પ્રયત્ન રહેશે. તેને વધુમાં કહ્યું હતું કે, જેથી કરીને ફરિયાદ લખાય ત્યાંથી લઇને ધારો કે કોઈ પોલીસમાં ફરિયાદ લખાવવા કોઈ ફરિયાદી ગયો, પોલીસે ફરિયાદ નથી લીધી તો એને શું કરવું જોઈએ? એ લોકોને ખબર નથી હોતી. પોલીસે ફરિયાદ લીધી અને પછી તપાસ દરમિયાન પોલીસ શું કરે છે એ લગભગ કોઈને ખબર હોતી નથી, એટલે એ જાણવા માટે અમે આ પુસ્તિકા બનાવી છે. 'એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે'તેને વધુમાં કહ્યું કે, પબ્લિક પ્રોસિક્યુટર કેટલા પ્રકારના હોય? પબ્લિક પ્રોસિક્યુટર શું કામગીરી કરે? કયા પબ્લિક પ્રોસિક્યુટર કઈ કોર્ટમાં કામ કરે? એ પણ લોકોને ખબર નથી હોતી, એટલે આના માટે એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે. અમને આશા છે કે એ પુસ્તિકા વાંચવાથી ઘણા બધા લોકોને ખબર પડશે કે પ્રોસિક્યુશન શું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:12 pm

સેવા અને શિસ્ત યુવાઓનો સાચો શણગાર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્કાઉટ્સ-ગાઈડ્સને રાષ્ટ્રનિર્માણ અને પ્રકૃતિની સેવામાં જોડાઈને તપસ્વી બનવા પ્રેર્યા

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ‘ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ’ દ્વારા આયોજિત રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહીને યુવા શક્તિને બિરદાવી હતી. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે યુવાઓને જીવનમાં સેવા, શિસ્ત અને સંસ્કારને આત્મસાત કરી રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં સહભાગી થવા હાહવાન કર્યું હતું. મોબાઈલના આભાસી વિશ્વ સામે શિસ્તનો માર્ગરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજના ટેકનોલોજી યુગમાં યુવા પેઢીની દિશા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે આજની પેઢી મોબાઈલ, ટીવી અને વિવિધ વ્યસનોના પ્રભાવ હેઠળ છે, ત્યારે સ્કાઉટ્સ-ગાઈડ્સની આ શિસ્તબદ્ધ ટીમમાં જોડાયેલા બાળકો ખરેખર ભાગ્યશાળી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નાની ઉંમરે જ્યારે તમે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા પર્યાવરણીય કાર્યો સાથે જોડાવ છો, ત્યારે તે માત્ર પ્રવૃત્તિ નથી રહેતી પણ તમારા જીવનનો કાયમી હિસ્સો અને સ્વભાવ બની જાય છે. શાસ્ત્રોના સંદર્ભે તેમણે ઉમેર્યું કે, બાળપણમાં જે સ્વભાવ ઘડાય છે તે જ આજીવન વ્યક્તિત્વની ઓળખ બનીને અંતિમ શ્વાસ સુધી ટકી રહે છે. કિશોરાવસ્થામાં વિવેકબુદ્ધિ અને લાગણીઓનું સંતુલન સાતમા ધોરણથી લઈને કોલેજ સુધીની ઉંમરને અત્યંત સંવેદનશીલ ગણાવતા રાજ્યપાલે માર્ગદર્શન આપ્યું હતું કે, આ ઉંમરે બાળકો હૃદયથી વધુ અને મગજથી ઓછું વિચારતા હોય છે. શારીરિક અને માનસિક પરિવર્તનોના આ ગાળામાં જે બાળક પોતાની લાગણીઓ અને ભાવનાઓ પર નિયંત્રણ રાખીને વિવેકબુદ્ધિથી નિર્ણયો લે છે, તે જ સમાજમાં અલગ તરી આવે છે અને સફળતાના શિખરો સર કરે છે. ભૂલ છુપાવવી એ અપરાધનું પ્રથમ પગલું બાળકોને નિર્ભય અને પારદર્શક બનવાની શીખ આપતા તેમણે એક ગંભીર પાસું સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, મનુષ્ય હોવાને નાતે ભૂલ થવી સ્વાભાવિક છે, પરંતુ ભૂલને છુપાવવી એ અપરાધના માર્ગે જવાનું પ્રથમ પગલું છે. જે ક્ષણે બાળક પોતાની ભૂલ છુપાવે છે, તે ક્ષણે જ તેનામાં અપરાધી બનવાના બીજ રોપાય છે. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે કોઈ પણ ભૂલ થાય તો તરત જ માતા-પિતા કે ગુરુજનોને જણાવી દેવી જોઈએ, જેથી મનનો બોજ હળવો થાય અને ખોટા માર્ગે જવાથી બચી શકાય. આળસ ત્યજીને તપસ્વી જીવન જીવવાની જરૂરિયાત'કર્મ જ ધર્મ'ના સૂત્રને સમજાવતા આચાર્ય દેવવ્રતે આળસને મનુષ્યના શરીરનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો હતો. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જંગલના રાજા ગણાતા સૂતેલા સિંહના મોઢામાં હરણ પોતે આવીને પ્રવેશતું નથી, તેને પણ પેટ ભરવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. તેવી જ રીતે, જીવનમાં શૈક્ષણિક કે સામાજિક ક્ષેત્રે સફળ થવા માટે તપસ્વી જીવન અને સખત મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વૃક્ષારોપણ અને વ્યસનમુક્તિ: પરોપકારની ભાવના સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, જની યુવા પેઢી જંક ફૂડ અને વ્યસનો તરફ વળી રહી છે, જે અંતે કેન્સર અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓને આમંત્રણ આપે છે. માતાના હાથે બનેલું શુદ્ધ ભોજન જ ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે. વૃક્ષોના મહત્વ વિશે તેમણે કહ્યું કે, આપણે માત્ર 3 વર્ષ એક વૃક્ષને ઉછેરવાનું હોય છે, ત્યારબાદ તે વૃક્ષ આજીવન આપણને પ્રાણવાયુ (ઓક્સિજન) આપે છે. પથ્થર મારનાર વ્યક્તિને પણ મીઠાં ફળ આપનારા વૃક્ષો પાસેથી આપણે પરોપકારની ભાવના શીખવી જોઈએ. નીતિનભાઈ પટેલે રાજ્યપાલના સેવાકીય અભિગમને બિરદાવ્યોઆ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સના પ્રમુખ નીતિનભાઈ પટેલે રાજ્યપાલના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યપાલ માત્ર રાજભવનમાં સીમિત ન રહેતા આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં જઈને ખેડૂતો અને ગરીબો સાથે ભોજન લે છે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં રોકાઈને પ્રાકૃતિક ખેતીનો જે પ્રસાર કરી રહ્યા છે તે અભૂતપૂર્વ છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે અમદાવાદ ખાતે સ્કાઉટ-ગાઈડના વિશાળ 'કોમ્યુનિટી હોલ'નું નિર્માણ થઈ રહ્યું છે, જે 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને ચરિતાર્થ કરશે. પુરસ્કાર વિતરણ અને આંકડાકીય વિગતોરાજ્ય આયુક્ત (સ્કાઉટ) હસમુખભાઈ મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અંદાજે 40,000 જેટલા સ્કાઉટ્સ-ગાઈડ્સ કાર્યરત છે. વર્ષ 2025-26 માટે કુલ 1,872 સ્કાઉટ-ગાઈડ્સે રાજ્ય પુરસ્કાર મેળવ્યો છે, જેમાં 1,032 સ્કાઉટ્સ, 19 રોવર અને 799 ગાઈડ્સનો સમાવેશ થાય છે. આજના આ ભવ્ય સમારોહમાં 17 જિલ્લાના કુલ 815 બાળકોએ પ્રત્યક્ષ હાજરી આપી સન્માન સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય કમિશનર સવિતાબેન પટેલ, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશભાઈ ઝવેરી, અંજનાબેન ચૌધરી, દિલીપભાઈ ચૌધરી, ડાહ્યાભાઈ પટેલ અને છનાભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સ્કાઉટ્સ-ગાઈડ્સ દ્વારા દેશભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:00 pm

રાજકોટમાં સિટિબસ ચાલકો બેફામ:જિલ્લા પંચાયત ચોકમાં એક્ટિવા ચાલકને અડફેટે લેતા ડ્રાઈવર વિરુદ્ધ નાગરિકનો ઉગ્ર રોષ, કહ્યું- 'બાપનો રોડ હોય તેમ બસ ચલાવે છે'

રાજકોટ શહેરમાં સીટી બસના ચાલકોની મનમાની અને બેદરકારીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે શહેરના વ્યસ્ત ગણાતા જિલ્લા પંચાયત ચોક પાસે ફરી એકવાર સીટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પાછળથી પૂરઝડપે આવી રહેલી સીટી બસે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિકો અને ભોગ બનનાર નાગરિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભોગ બનનાર નાગરિકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, સીટી બસના ડ્રાઈવરો રસ્તા પર એવી રીતે બસ હંકારે છે જાણે રસ્તો તેમના બાપનો હોય. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ ચાલકોને ટ્રાફિકના નિયમોનું કોઈ ભાન નથી અને ગમે ત્યારે ગમે તે વાહનની માથે બસ ચડાવી દે છે. જો આ સમયે કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? પોલીસ અને તંત્ર દ્વારા આવા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ પણ તેણે કરી હતી. સમગ્ર મામલે મનપાનાં અધિકારી પરેશભાઈ અઢીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ અંગેની તપાસ કર્યા બાદ ડ્રાઇવરની બેદરકારી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલત યોજાઈ, કુલ 88,172 કેસોનો સફળ નિકાલ કરાયો નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ જે. આર. શાહના નેતૃત્વમાં યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કુલ 22,576 પેન્ડિંગ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. પક્ષકારોના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદને કારણે મોટી સંખ્યામાં કેસોનો સ્થળ પર જ સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. લોક-અદાલતમાં મોટર અકસ્માત વળતરના કુલ 401 કેસોમાં રૂ. 28,81,00,214 જેટલી માતબર રકમનું સમાધાન થયું હતું. આ ઉપરાંત ચેક રિટર્નના 5,090 કેસોમાં રૂ. 27,84,25,197.4 ની રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું, જ્યારે લગ્ન વિષયક તકરારના 136 કેસોનો નિકાલ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન લોક અદાલતના 6,277 અને સ્પેશિયલ સિટિંગના 5,796 મળી કુલ 12,073 પેન્ડિંગ કેસો તેમજ 76,099 પ્રિ-લિટિગેશન કેસો મળીને કુલ 88,172 કેસોનો નિકાલ થયો હતો. સચિવ એચ. વી. જોટાણીયાએ પક્ષકારોને ભવિષ્યમાં પણ લોક-અદાલતનો લાભ લેવા અનુરોધ કર્યો છે. રાજકોટના મવડી વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશન, રૂ. 15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના અનઅધિકૃત દબાણો હટાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે શહેરના મવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મવડી-કણકોટ રોડ પર આવેલા સરકારી સર્વે નં. 194 પૈકીની આશરે 4500 ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ખુલ્લી કરાવવામાં આવેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 15 કરોડ જેટલી છે. જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની સૂચના અને સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. આ સ્થળે ઊભા કરવામાં આવેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ અને ઈંટોના ચણતર સહિતના દબાણો દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ દબાણકારોને અગાઉ નોટિસ આપી સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન રાજકોટ દક્ષિણના મામલતદાર, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, તલાટી, વિજ કંપનીના અધિકારીઓ અને પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો. રાજકોટમાં ઉનાળાની શરૂઆતે જ રાહત, આજી અને ન્યારી ડેમ એપ્રિલ સુધીમાં છલોછલ ભરાશે રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની માંગમાં વધારો થયો છે, ત્યારે શહેરના જળાશયોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. મહાપાલિકાની ગણતરી મુજબ, માર્ચ મહિનાના અંત સુધીમાં આજી-1 ડેમ અને 10 એપ્રિલ સુધીમાં ન્યારી-1 ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. આજી-1 ડેમમાં હાલ 752 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને દરરોજ 18 MCFT પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જે માર્ચના અંત સુધીમાં 900 MCFT સુધી પહોંચી જશે. તેવી જ રીતે, 800 MCFT ની ક્ષમતા ધરાવતા ન્યારી-1 ડેમમાં દરરોજ 14 MCFT પાણી ઉમેરીને 10 એપ્રિલ સુધીમાં કુલ 1000 MCFT પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. બીજી તરફ, ભાદર-1 ડેમમાં હાલ 3000 MCFT પાણીનો જથ્થો છે, જે આગામી જુલાઈ મહિના સુધી શહેરની જરૂરિયાત પૂરી કરવા માટે પર્યાપ્ત છે. આમ, ત્રણેય મુખ્ય ડેમમાં 10 જૂન સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ થઈ જશે, જેના કારણે આગામી ચૂંટણી દરમિયાન પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જોકે, ભાદર ડેમની પાઈપલાઈન બદલવાનું મહત્વનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીના NOCના અભાવે હજુ પણ અટવાયેલું છે. સરકાર અને તંત્ર દ્વારા ઉનાળામાં પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અત્યારથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:49 pm

GCTOC હેઠળ સખત કાર્યવાહી:ભાવનગરના કુખ્યાત ભૂમાફિયા પથુભા ગોહિલને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત નહીં, જામીન અરજી નામંજૂર

ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાનું નેટવર્ક ચલાવતી ટોળકી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે GCTOC હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે ખાસ કરીને આ ગેંગના સભ્ય પથુભા મેરૂભા ગોહિલની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફગાવી દેવામાં આવી છે, આ અંગે ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીએથી મળતી માહિતી મુજબ ​ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક સંગઠિત ટોળકી સક્રિય હતી આ ટોળકી ગરીબ અને અભણ ખેડૂતોની જમીનોના બનાવટી કુલમુખત્યારનામા અને અન્ય નકલી દસ્તાવેજો તૈયાર કરતી હતી આ માટે તેઓ મૃતક નોટરીના સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા, ​જ્યારે કોઈ અસલી ખરીદનાર જમીનનો સોદો કરે, ત્યારે આ ટોળકી વાંધા અરજીઓ કરી અથવા ખોટા દસ્તાવેજો બતાવી કરોડો રૂપિયાની ખંડણી માંગતી હતી, ખેડૂતો અને બિલ્ડરોને ધાકધમકી આપી પરેશાન કરવામાં આવતા હતા, ​GCTOC હેઠળ કાર્યવાહી ​ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની ગંભીરતા જોતા, પોલીસ અધિક્ષક દ્વારા આ કેસમાં ગુજસીટોક (GCTOC) ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જુલાઈ 2024 માં આ સંગઠિત ટોળકીના સભ્યોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જેમાં મહાવીરસિંહ કનુભા ગોહિલ રહે.ચિત્રા, ભાવનગર, ચંદ્રકાંત પુરૂષોત્તમભાઈ સોલંકી રહે.રખિયાલ, અમદાવાદ પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા ખોરડી અજુભા ગોહિલ રહે.કાળીયાબીડ, રવીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ રહે.ચિત્રા, પથુભા મેરૂભા ગોહિલ રહે.શિક્ષક સોસાયટી, તથા રવિન્દ્રસિંહ તોગુભા ગોહિલ રહે.કાળીયાબીડ ધરપકડ કરી હતી, ​આ ટોળકીના સભ્યોએ અગાઉ સેશન્સ કોર્ટ, ગુજસીટોક કોર્ટ (રાજકોટ) અને ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા પ્રયાસો કર્યા હતા, જે તમામ અરજીઓ નામંજૂર થઈ હતી, ત્યારબાદ આરોપી પથુભા મેરૂભા ગોહિલે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે દાદ માંગી હતી, જોકે, સુપ્રીમ કોર્ટે પણ લાંબી દલીલોના અંતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તેમની જામીન અરજી ફગાવી દીધી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:37 pm

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા:લોકમાન્યતા મુજબ સારા ચોમાસાની આશા જાગી

ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડી પક્ષીએ ચાર ઈંડા મૂક્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોકમાન્યતા હોવાથી આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પ્રાચીન સમયમાં, જ્યારે વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, ત્યારે લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરતા હતા. પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા હતા. તેમાં ટીટોડીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા પણ મહત્વની માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર રહેતું પક્ષી છે અને મોટાભાગે ખુલ્લી જમીનમાં જ ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે ત્રણ ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં ચાર ઈંડા મુકાયા હોવાનું જોવા મળ્યું છે. લોકમાન્યતા મુજબ, ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસાના ચાર મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં સારા ચોમાસાની આશા વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત, એવી પણ માન્યતા પ્રચલિત છે કે ટીટોડી જો ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. જોકે, વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાનને જ મહત્વ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:35 pm

કરિયાણાની દુકાન ચલાવતા શખ્સે વાણંદ પર અસ્ત્રા વડે હુમલો કર્યો:લોહીથી લથપથ હાલતમાં યુવકનું મોત, વડોદરામાં એક જ દિવસમાં હત્યાનો બીજો બનાવ

વડોદરા શહેરમાં એક જ દિવસમાં હત્યાનો બીજો બનાવ બનતા ચકચાર મચી છે. શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈ નામના શખ્સે અસ્ત્રા વડે હુમલો કરતા 36 વર્ષીય મિતેશકુમાર રમણભાઈ વાળંદ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. લોહીથી લથપથ હાલતમાં યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક મૂળ ભરૂચના માતર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. આ કરપીણ હત્યાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. કરિયાણાની દુકાન ચલાવતા શખ્સે યુવકને અસ્ત્રો મારીને પતાવી દીધોવડોદરા શહેરમાં જાણે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ગત મોડી રાત્રે પતિએ પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક જ દિવસમાં બીજી કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. મળતી માહિતી અનુસાર, શહેર નજીક અને કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સુંદરપુરા પાટિયા પાસે જી.ઈ.બી.ની બાજુમાં આવેલા ઓરનેટ વિલા કો-ઓપરેટિવ સોસાયટી નીચેની હેર કટિંગની દુકાન પાસે આ ઘટના બની છે. કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈએ અચાનક અસ્ત્રા વડે હુમલો કર્યો હતો. લોહીથી લથપથ હાલતમાં યુવકનું મોતઘટનાસ્થળે લોહીથી લથપથ હાલતમાં મળી આવેલા યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ મિતેશકુમાર રમણભાઈ વાળંદ (ઉંમર 36 વર્ષ) તરીકે થઈ છે. આરોપીએ મૃતકને અસ્ત્રા વડે મોઢા અને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોમૃતક મૂળ ભરૂચ જિલ્લાના માતરનો વતની હતો. આ હત્યાની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ હત્યા પાછળ મૂળ કરણ જાણી શકાયું નથી પરંતુ હત્યા સામાન્ય બોલાચાલીમાં થઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂકપુરાઈ પોલીસે હાલમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ આવતી કાલે કરવામાં આવશે. આ યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવ માગે કપુરાઈ પોલીસ મથકમાં PI ડી. સી. રાઓલે જણાવ્યું હતું કે, આ હત્યાના બનાવમાં આરોપીને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ, પીસીબી, ડીસીબી સહિતની ટીમો કામે લાગી છે. આ આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:35 pm