SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

ભાસ્કર એક્સક્લુઝિવ:2 કલાકના નૃત્ય માટે મેક-અપ કરતાં 2 કલાક અને ઉતારતાં 45 મિનિટ લાગે છે

અમદાવાદમાં શુક્રવાર અને શનિવાર, એમ બે દિવસ અનુક્રમે લાંભાના લક્ષ્મીપુરા શ્રી ગુરુવાયુરપ્પન (કૃષ્ણ) મંદિરે અને વાસણાના ઐયપ્પા મંદિરે કેરળની પરંપરાગત નૃત્ય-નાટ્ય શૈલી ‘ઓટ્ટન થુલ્લલ’ની પ્રસ્તુતિ કરવામાં આવશે. ઉત્તરાયણ નિમિત્તે 10મીથી યોજાનારા પંચ દિવસીય ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે કેરળના પ્રસિદ્ધ કલામંડલમ્ સુરેશ કલિયાથ અને તેમનું વૃંદ આ નૃત્ય રજૂ કરશે. લાંભામાં શુક્રવારે સાંજે 6 વાગ્યે ‘કિરાથમ્’ની કથા રજૂ કરાશે જ્યારે વાસણામાં શનિવારે સાંજે 7 વાગ્યે ‘રામાનુચરિથમ્ (ગરુડા ગર્વભંગમ્)’ની કથા રજૂ કરાશે. 2 કલાકના નૃત્ય માટે મેક-અપ અને વેશભૂષામાં પણ 2 કલાક લાગતો હોય છે અને મેક-અપ દૂર કરવામાં પણ 45 મિનિટ જાય છે. ‘ઓટ્ટન થુલ્લલ’નો આરંભ 18મી સદીમાં પ્રસિદ્ધ મલયાલમ કવિ અને વ્યંગકાર કુંચન નામ્બિયારે કર્યો હતો. સરળ મલયાલમ ભાષામાં સમાજની કુરીતિઓ, પાખંડ અને અહંકાર પર કટાક્ષ કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક રંગથી મેક-અપ કરાય છેઓટ્ટન થુલ્લલ માટે વેશભૂષા અને મેકઅપ તૈયાર કરવા અંદાજે 2 કલાક થાય છે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી મેક-અપ દૂર કરવામાં પણ 30થી 45 મિનિટનો સમય લાગે છે. મેક-અપ અને વેશભૂષા માટે સંપૂર્ણપણે પ્રાકૃતિક રંગોનો નારિયેળના તેલ સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવામાં આવે છે. ચહેરા પર પીળો, વાદળી, કાળો રંગ અને હોઠ પર લાલ રંગથી મેક-અપ કરાય છે. સાથેસાથે ચૂનાનો પણ ઉપયોગ કરાય છે. આ તમામ રંગોને નારિયેળના તેલથી ચહેરા પર લગાવાય છે. ચહેરા પર રેખા દોરવા માટો ચોખાની પેસ્ટમાંથી સફેદ રંગ બનાવાય છે. લીલો ચહેરો પાત્રની વીરતા અને ઉદારતા દર્શાવે છે જ્યારે ઘેરી કાળી આંખ ભાવભંગિમા સ્પષ્ટ કરે છે અને લાલ હોઠ કાવ્યપાઠને પ્રભાવશાળી બનાવે છે. કલામંડલમ સુરેશ કલિયાથનો પરિચય કેરળના થ્રિસૂર જિલ્લાના કિલ્લીમંગલમ ગામના કલામંડલમ સુરેશ કલિયાથે કલામંડલમ કલ્પિત યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સ (થુલ્લલ)માં સ્નાતક અભ્યાસ પૂર્ણ કરી મુંબઈમાં ઇન્ડિયન આર્ટ્સમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો છે. પોંડિચેરી સ્થિત કલાગવેષણા સંસ્થા આદિશક્તિ લેબોરેટરી ફોર થિયેટર આર્ટ્સ રિસર્ચ સેન્ટર (ALTAR)માં 17 વર્ષ સુધી અધ્યાપક તથા પરફોર્મર તરીકે સેવા આપી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

નિર્ણય:વેપારીઓની સંખ્યા વધતાં પીપળજમાં પ્લોટ વધારાશે

ન્યૂ ક્લોથ માર્કેટ સાથે સંકળાયેલા અનેક વેપારીઓએ પીપળજમાં નવું કાપડ માર્કેટ સ્થાપવાની યોજના તૈયાર કરી છે. નવા માર્કેટમાં જોડાવા માટે મોટી સંખ્યામાં વેપારીઓએ તૈયારી દર્શાવતાં તાજેતરમાં મળેલી બેઠકમાં પ્લોટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે. ન્યૂ કલોથ માર્કેટને 66 વર્ષ પૂર્ણ થયાં છે. વધતી જતી પાર્કિંગ અને ટ્રાફિકની મુશ્કેલી ધ્યાને રાખી પીપળજ પાસે નવી માર્કેટ બનાવીએ તો ત્યાં જ કાપડની મિલો, ટ્રાન્સપોર્ટ, રિંગરોડનો સીધો લાભ મળી શકે તેમ છે. ઉપરાંત ઘણાં વર્ષોથી સાઉથ બોપલ, ઘુમા, શેલા અને સાણંદમાં વેપારીઓએ રહેવાના ઘર બનાવી સ્થળાંતર કર્યું હોવાથી પીપળજમાં નવી માર્કેટ બનાવાનું નક્કી કરાયું હતું. પહેલાં 150 પ્લોટની સંખ્યા રખાઈ હતી પરંતુ માગ જોતાં વિસ્તાર વધારવાનો નિર્ણય લેવાયો હોવાનું પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું. હાલની ન્યૂ કલોથ માર્કેટ અને મસ્કતી કાપડ માર્કેટ અહીંયાં જ કાર્યરત રહેશે પરંતુ શહેરની નજીક પીપળજમાં નવું માર્કેટ બને તો વેપારીઓને સરળતા મળી રહેશે. શહેરમાં નવું કાપડ માર્કેટ બનાવવું જરૂરીહાલમાં ન્યૂ કલોથ માર્કેટના 3 કિલોમીટર વિસ્તારમાં હોલસેલ, સેમી હોલસેલ, રેડીમેડ ગાર્મેન્ટ તથા ગાર્મેન્ટર પણ છે. ભવિષ્યને ધ્યાને રાખીને નવું માર્કેટ બનાવવું જરૂરી છે. આજે ન્યૂ કલોથ માર્કેટના ઘણા વેપારી મિલો તથા અન્ય ઘણી ઇન્ડસટ્રીના માલિક બન્યા છે. > ગૌરાંગ ભગત, પ્રમુખ મસ્કતી કાપડ માર્કેટ મહાજન

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

CMA ડિસેમ્બરનું પરિણામ:પાંચ વર્ષની 10 સેશનની પરીક્ષામાં શહેરનું સૌથી વધુ પરિણામ, 18.95% વધારો નોંધાયો

ધ ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન ડિસે.-2025નું ગુરુવારે પરિણામ જાહેર કરાયું. જે છેલ્લાં પાંચ વર્ષોની દશ સેશનની અમદાવાદના પરિણામોની તુલના કરવામાં આવે તો પરિણામમાં 18.81 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર- 2025માં પરિણામ 18.81 ટકા વધીને 80.34 ટકા થયું છે. સીએમએ અમદાવાદ ચેપ્ટરના ચેરમેન મિતેષ પ્રજાપતિએ જણાવ્યું છે કે, ડિસેમ્બર 2025ની પરીક્ષા કુલ કુલ 585 વિદ્યાર્થીઓએ આપી હતી, જે પૈકીના 470 વિદ્યાર્થીઓ પાસ થતાં 80.34 ટકા પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સીએમએ ઈન્ટરમીડિએટ- ફાઈનલનું પરિણામ 11મી ફેબ્રુઆરીએ જાહેર કરાશે. પાંચ વર્ષોના WIRC પરિણામની વિગતો ટર્મ પરિણામ જૂન-2177.00 ડિસે-2181.00 જૂન-2273.27 ડિસે-2281.97 જૂન-2356.27 ડિસે-2365.25 જૂન-2450.33 ડિસે-2461.93 જૂન-2555.97 ડિસે- 2566.84 પાંચ વર્ષના અમદાવાદના પરિણામની વિગતો ટર્મપરિણામ જૂન-2161.53 ડિસે-2179.30 જૂન-2269.76 ડિસે-2267.24 જૂન-2361.95 ડિસે-2373.83 જૂન-2449.04 ડિસે-2466.75 જૂન-2556.52 ડિસે- 25 80.34 અમદાવાદના પરિણામમાં વધારો થવા પાછળના કારણો - સીએમએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા સીએમએ થયેલા નિષ્ણાતોના માર્ગદર્શન સાથે કોંચિંગ અપાય છે. - પરીક્ષા પહેલા દરેક વિદ્યાર્થીઓને છેલ્લા દશ વર્ષના 20 સેશનના 10 પ્રશ્નપત્રોના ચાર વિષયોના 40 પ્રશ્નપત્રો લખાવવામાં આવ્યા. - પ્રોપર ગાઈડન્સ,રીહર્સલ પેપર ટેસ્ટ, સેલ્ફ ઈવેલ્યુએશન સહિતના કારણોસર આ સ્થિતિ સર્જાઈ. (સીએમએ અમદાવાદ ચેપ્ટરના ચેરમેન મિતેષ પ્રજાપતિના જણાવ્યાં પ્રમાણે)

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ગુજરાતનું પ્રદર્શન ચિંતાજનક:ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલનું પરિણામ જાહેર: ગુજરાતના માત્ર 45% વકીલો પાસ

ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલ દ્વારા બુધવારે જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. દેશના સરેરાશ 69% ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે, તેની સામે ગુજરાતમાં પરિણામનો આંકડો માંડ 45% સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 13,152 વિદ્યાર્થીઓએ નસીબ અજમાવ્યું હતું, જેમાંથી માત્ર 6008 વિદ્યાર્થીઓ જ વકીલાત માટે લાયક ઠર્યા છે. જ્યારે 7144 નાપાસ વિદ્યાર્થીઓને ફરી જૂનમાં પરીક્ષા આપશે. શા માટે જરૂરી છે આ પરીક્ષા?લો પૂર્ણ કર્યા બાદ પ્રોવિઝનલ સનદ મળે છે, પરંતુ કાયમી વકીલાત કરવા અને કોર્ટમાં દલીલો કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. સનદ મેળવ્યાનાં બે વર્ષમાં આ પરીક્ષા પાસ ન કરનાર વકીલ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકતા નથી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

તપાસ:એસજી હાઈવે ઉપર રાહદારીને ઉડાવનાર કારચાલક સગીર હતો

એસજી હાઈવે ફન બ્લાસ્ટની સામે વૈષ્ણોદેવીથી ગોતા તરફ જતા રસ્તા પર થયેલા હિટ એન્ડ રન કેસમાં સગીરે કાર ચલાવી અકસ્માત કર્યો હોવાનો ઘટસ્ફોર્ટ થયો છે. 28 ડિસેમ્બરે સગીરે ઓવરસ્પીડમાં કાર ચલાવીને 55 વર્ષીય પુરુષને ટક્કર મારી હતી. જેના કારણે પુરુષનું ગંભીર ઈજાઓનાકારણે મોત નીપજ્યું હતું. હાલ આ મામલે એસજી હાઈવે ટ્રાફિક પોલીસે સગીરને કાર ચલાવવા આપનાર તેના પિતા સામે ગુનો નોંધી શરૂ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સગીરના દાદાનું ઓપરેશન હોવાથી સગીરે મામાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર કાર લઈને હોસ્પિટલ પૈસા આપવા માટે આવતા અકસ્માત સર્જ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

3 ટ્રેન રિશિડ્યુલ:કાંદિવલી–બોરીવલી વચ્ચે 6ઠ્ઠી લાઈનના કામથી મેગા બ્લોક

રેલવે દ્વારા મુંબઈના કાંદિવલી-બોરીવલી સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યમાં 30 દિવસના બ્લોક કામના કારણે કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવા સાથે રિશિડ્યુલ કરી છે. ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને રાખી ટ્રેનોનું સંચાલન સરળ બનાવવા માટે છઠ્ઠી લાઈન નખાઇ રહી છે. જેથી લોકલ તથા લાંબા અંતરની ટ્રેનોને અલગ માર્ગ મળતા, ટ્રેનોના વિલંબમાં ઘટાડો થશે, સમય સચવાશે અને પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ ઘટશે. ટ્રેનોનામાં ફેરફાર કરાયો છે તેમાં 10 જાન્યુઆરીની 19418 અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસને વસઈ અટકાવાશે. 11મીની 19417 બોરીવલી–અમદાવાદ વસઈ રોડથી જ દોડશે અને વસઈ રોડ–બોરીવલી વચ્ચે આંશિક રદ રહેશે. રીશિડ્યુલ કરાયેલી ટ્રેનોમાં 10 જાન્યુઆરીની 12902 અમદાવાદ–દાદર એક્સપ્રેસ 20 મિનિટ, 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ 45 મિનિટ મોડી પડશે. જ્યારે 11 જાન્યુઆરીની 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ મોડી દોડશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રાજકોટ તાલુકા પંચાયતની કૌભાંડની નવી નીતિ, પહેલા કામ કરાવી નાખ્યા, પછી ટેન્ડર પ્રસિદ્ધ કર્યા

ઈમરાન હોથી ગામ, તાલુકો કે શહેર કોઈપણ વિસ્તાર હોય તેમાં ટેન્ડર કરાયા બાદ કામ ચાલુ થવામાં વિલંબ થતા હોય છે અને ભાગ્યે જ જે સમય મર્યાદા અપાઈ હોય તે મુજબ કામ થાય છે. જોકે રાજકોટ તાલુકા પંચાયતમાં તો ટેન્ડર કરતા પહેલા જ કામ કરી નાખ્યા છે. હવે ટેન્ડર ફોર્મ પણ નિશ્ચિત એજન્સીઓ પાસે જ લેવડાવી કામના માત્ર બિલ બનાવી ખાયકી કરવાનું નવું કૌભાંડ દિવ્ય ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથીરિયા અને તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ ચૌહાણની સહીથી 27 અને 31 ડિસેમ્બરના દિવસે બે નિવિદા બહાર પડાઈ છે. મજૂર બાંધકામ મંડળીઓ પાસે કામ આપવાની આ નિવિદામાં ફક્ત ટેન્ડર ક્રમ લખ્યા હતા કામના નામ લખ્યા ન હતા. કામના નામો તેમજ ટેન્ડર ફોર્મ પણ જાહેર કરાતા ન હતા. જેથી દિવ્ય ભાસ્કરની ટીમે તાલુકા પંચાયત કચેરીના સૂત્રો પાસેથી કામના નામ મેળવ્યા હતા. કુલ 47 લાખના 5 કામ ચકાસ્યા હતા. જેમાં સણોસરા ગામમાં બે સ્થળે સીસીરોડ બનાવવાના 20 લાખના કામ તેમજ સોખડા ગામે 7 લાખના ખર્ચે દીવાલ બનાવવાના કામની તપાસ કરાતા તે સ્થળોએ તો તાજેતરમાં જ કામ થઈ ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ કામ ક્યારે થયું તે જાણવા ગ્રામજનો સાથે વાત કરતા તેઓએ પણ એકાદ બે મહિનામાં જ કામ કરાયાનું કહ્યું હતું. કૌભાંડનું કારણ | મનગમતા સિવાય અન્ય કોઈ ટેન્ડર ન ઉપાડે માટે આવું કરાઈ છેરાજકોટ તાલુકા પંચાયતમાં ટેન્ડર પહેલાં કામ કરાવવા પાછળ મોટી નાણાકીય ગેરરીતિ કરવાનું પરિબળ જવાબદાર છે. જ્યારે કોઇ વિસ્તારમાં સીસીરોડ કે પછી અન્ય કામ ચાલુ હોય અને તેમાં લોખંડ કે સિમેન્ટ વાપરવામાં ગેરરીતિ થતી હોય છે. કોઇ ફરિયાદ કરે તો ઈજનેરો તપાસ કરીને ટેન્ડર મુજબનો માલ સ્થળ પર ન મળે તો દંડ કરે છે. જોકે એડવાન્સમાં કામ થાય અને જો કોઇ ફરિયાદ કરે તો ઈજનેરોને જ કાગળ પર ત્યાં કોઇ કામ ન હોવાનું કરીને અરજી દફ્તરે કરી શકે છે. આ ઉપરાંત જ્યારે કોઇ પણ અન્ય ફોર્મ ઉપાડે તો તેને પણ સમજાવી દેવાય છે કે તે કામ થઈ ગયું છે એટલે બીજા કોન્ટ્રાક્ટર નેતાઓ સાથે અદાવતમાં ન પડતા ફોર્મ ઉપાડતા નથી. અમારા અનુસૂચિત જાતિ વાસમાં 10માં મહિનામાં સીસીરોડ બન્યાહું અનુસૂચિત જાતિ વાસમાં રહું છું અને અમારા વિસ્તારમાં 10માં મહિનામાં આખા વિસ્તારમાં સીસીરોડના કામ કરવામાં આવ્યા છે. પ્રમુખ ચેતન કથીરિયા ખૂબ જ સારી અને ઝડપી કામ કરાવી રહ્યા છે. હાલ અમારા વિસ્તારમાં ક્યાંય પણ રોડ-રસ્તા બાકી રહ્યા નથી. > છગનભાઈ પરમાર , ગ્રામજન સણોસરા ટીડીઓએ પ્રસિદ્ધ કરેલી નિવિદારાજકોટ તાલુકા પંચાયતના ટીડીઓએ આ બે નિવિદા પ્રસિદ્ધ કરાવી તેના દોઢ મહિના પહેલા કુલ કામમાંથી 7 કામ થઈ ગયા હતા. ટીડીઓ કહે,‘ખબર નથી તપાસ કરાવીશું’, પ્રમુખ કહે, ‘સંબંધમાં અમુક કામો પહેલા કરાવ્યા!’ટેન્ડર બહાર પાડ્યા હોય અને તે સ્થળે અગાઉથી કામ કરી નાખ્યા હોય તેવું મારા ધ્યાનમાં નથી. આવું તો કરાતું ન જ હોય. જો કામ થઈ ગયા હોય તો તેની અલગ પ્રોસિજર છે. સણોસરા અને સોખડામાં ટેન્ડર અને સ્થળ તપાસ કરાવીશુ. > વનરાજસિંહ ચૌહાણ, ટીડીઓ-રાજકોટ

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક:બાળકને સાઈકલ પરથી પછાડી, કપડાં ખેંચીનેય બચકાં ભરવાનું ન છોડ્યું

સુપ્રીમ કોર્ટે દેશમાં રખડતા કૂતરાઓના કરડવાની ઘટનાને કારણે લોકોની સલામતીની ગંભીર ચિતા વ્યક્ત કરીનેશ્વાનોના આતંકને અંકુશમાં લેવા રાજ્ય સરકારોને નિર્દેશ કર્યા હોવા છતાં તેનું પાલન થઇ રહ્યું નથી. મોરબીના સામાકાંઠે આવેલી હરિપાર્ક સોસાયટીમાં એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. આ સોસાયટીમાં એક બાળક ઉપર કૂતરાએ ઓચિંતા જ હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે, હરિપાર્ક સોસાયટીના રોડ ઉપર બાળક સાઇકલ લઈને નીકળ્યો હતો. ત્યારે ઓચિંતા જ ત્યાં રોડ ઉપર રખડતા કૂતરાએ સાયકલ પર જતા બાળક ઉપર સીધો જ પ્રહાર કરી દીધો હતો. કૂતરાના ઓચિંતા હુમલાથી બાળક એકદમ ગભરાઈ ગયો હતો. જો કે, કૂતરાએ બાળક ઉપર હુમલો કરી સાયકલ પરથી નીચે પછાડીને પણ છોડ્યો ન હતો અને બાળક તેનાથી બચવા પ્રયાસ કરે છે. પણ બાળકના કપડાં ખેંચીને બચકા ભરવા પ્રયાસ કરતો હોવાથી બાળકે રાડારાડી કરી મૂકી હતી. આથી તુરંત જ આસપાસના લોકોને દોડી જઈને કૂતરાને તગેડી મુકતા બાળકનો જીવ બચી ગયો હતો. આસપાસના લોકોના કહેવા મુજબ આ કૂતરાએ બાળક ઉપરાંત આઠથી દસ લોકોને બચકા ભર્યા હતા મનપા પાસે રખડતા શ્વાન પકડવા માટે સાધનો કે સ્ટાફ જ નથી‎મોરબી પહેલા નગરપાલિકા વખતે રખડતા કૂતરા પકડવા માટે કોઈ સાધનો કે સ્ટાફ જ ન હતો. આ બેદરકારીનો દોર મહાપાલિકાએ પણ જાળવી રાખ્યો છે. ડોગ બાઈટના કેસ ગંભીર રીતે વધી રહ્યા છે. મનપાને એક વર્ષ થયું એની ભપકાદાર ઉજવણી પણ કરી નાખી પણ સૌથી અગત્યની લોકોની સલામતી માટે એક વર્ષમાં રખડતા કૂતરા પકડવા માટે સાધનો કે સ્ટાફ ઉપલબ્ધ કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. નિયમ એવો છે કે, રખડતા કૂતરાનું જે તે સ્થળે જ રસીકરણ કરીને ત્યાં જ છોડી દેવાના હોય છે. પણ મહાપાલિકા પાસે આવો ખાસ સ્ટાફ જ ન હોવાથી હવે રખડતા કુતરાથી લોકોને ભગવાન જ બચાવી શકે તેવી સ્થિતિ છે. ગયા આખા વર્ષમાં 4578 અને માત્ર 8 દિવસમાં ડોગ બાઈટના 234 કેસ‎મોરબીમાં કુતરા કરડવાના બનાવો ચિતાજનક હદે વધી ગયા છે. જેમાં ગયા વર્ષ એટલે 2025માં 4579 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. આ તો આખા વર્ષમાં આટલા કેસ નોંધાયા એના કરતાં પણ સૌથી વધુ ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે નવું વર્ષ એટલે 2026 શરૂ થયું એના માત્ર 8 દિવસ જ વીત્યા છે. આટલા ટૂંકાગાળામા 234 કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. એટલે હજુ તો આખું વર્ષ બાકી છે. એટલે આ વર્ષે ડોગ બાઈટના કેસ કેટલા કેસ વધશે એની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

વાહનચાલકોને પડેશે 2 કિમીનો ફેરો:રોડ રિસરફેસિંગ સહિતની કામગીરી માટે કડિયા પ્લોટ ફાટક 6 દિવસ બંધ રહેશે

પોરબંદરના કડીયા પ્લોટ રોડ પર આવેલ ફાટકનું રેલ્વે વિભાગ દ્વારા રોડ રીસરફેસિંગ સહિતની કામગીરી માટે તા.10 જાન્યુઆરી સાંજે 6 કલાકથી તા.16 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે.રેલ્વે વિભાગ દ્વારા આ ફાટક 6 દિવસ બંધ રહેતે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ માર્ગો પર રેલ્વે ફાટક આવેલ છે. પોરબંદરના કડીયા પ્લોટ વિસ્તારમાં જતા રસ્તે પણ રેલ્વે ફાટક આવેલ છે ત્યારે આ ફાટકના બિસ્માર રસ્તાનું સમારકામ સહિતની કામગીરી માટે રેલ્વે વિભાગ દ્વારા કડીયા પ્લોટનું ફાટક તા.10 જાન્યુઆરી સાંજે 6 કલાકથી તા.16 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે રેલ્વે વિભાગ દ્વારા આ ફાટક 6 દિવસ બંધ રહેતે તેવી જાહેરાત કરવામાં આવી છે.જે અંગેનો એક પત્ર પણ સોસીયલ મીડિયામ વાઇરલ થયો છે. હજારો વાહનચાલકોને 2 કિલોમીટર ફેરો થશેપોરબંદરના કડીયા પ્લોટ જતા રસ્તે આવેલ ફાટક 6 દિવસ બંધ રાખવામાં આવશે ત્યારે આ રોડ પરથી દિવસ દરમ્યાન પસાર થતા હજારો વાહનચાલકોને 2 કિલોમીટર ફરી ફાયર બ્રિગેડ રોડ પરથી જવાની ફરજ પડશે. જેથી વાહનચાલકો મુશ્કેલી વેઠવી પડશે

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

સોમનાથ કાર્યક્રમ:2000 શિક્ષકો ભેગા કરવાનો ટાર્ગેટ અપાયો

આગામી 11 જાન્યુઆરીના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં વડાપ્રધાન સોમનાથ સભા સંબોધવાના હોવાથી તેમાં એક લાખ લોકોની જનમેદની ભેગી થવાની છે. જૂનાગઢ જિલ્લાના 2000થી વધુ શિક્ષકો ભેગા કરવાનો શિક્ષણવિભાગને ટાર્ગેટ અપાયો છે. જેને લઇને શિક્ષણાધિકારી, નાયબ શિક્ષણાધિકારી, બીઆરસી, સીઆરસી સહિતના તમામ અધિકારી- કર્મચારી ટાર્ગેટ પૂરો કરવાના કામમાં વ્યસ્ત બન્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઇ ગઇ છે. જે તારીખ 11 જાન્યુઆરી સુધી ચાલનાર છે. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાનનો રોડ શો તેમજ સભાનુ આયોજન કરાયુ છે. જેમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે. આ લોકો ભેગા કરવા માટે શિક્ષણવિભાગને 2000થી વધુ શિક્ષકો ભેગા કરવાનો ટાર્ગેટ અપાયો છે. જેમાં તાલુકા મુજબ 2 થી 4 બસોની ફાળવણી કરવામાં આવનાર છે. હાલ જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ શિક્ષણાધિકારી, બીઆરસી, સીઆરસી કો- ઓર્ડીનેટર સહિતના તમામ ટાર્ગેટ પૂરો કરવાના કામમાં લાગી ગયા છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:લિસ્ટેડ બુટલેગરના ફ્લેટની ઝડતી, સાંજ સુધી રિમાન્ડ પર

લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાના શહેરમાં રાયજીબાગમાં આવેલા ફ્લેટની ગુરુવારે સાંજે ક્રાઈમ બ્રાન્ચે ઝડતી કરી તપાસ હાથ ધરી હતી. શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક ગુના બાદ 7 મહિનાથી નાસતો ફરતો લિસ્ટેડ મોસ્ટ વોન્ટેડ ઇનામી બુટલેગર ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારીયાને એલસીબીની ટીમે રાજસ્થાનના અજમેર જિલ્લાના આદર્શનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ઝડપી લઇ બુધવારે ભેસાણના દારૂ કેસમાં ધરપકડ કરી હતી. ગુરુવારે પીઆઇ કૃણાલ પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ પી. કે. ગઢવીએ આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે ભેસાણ કોર્ટમાં રજુ કર્યો હતો. ભેસાણ પોલીસ મથકમાં નોંધાયેલા દારૂ કેસમાં ધીરેન કારીયાની સાથે સહ આરોપીની માહિતી, અટક, પૈસાની લેતીદેતી, વોટ્સએપ ચેટ, કોલ ડિટેઈલ સહિત તપાસના મુદે ધીરેનના 7 દિવસના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ રજૂ કરી હતી. ભેસાણ કોર્ટે બંને પક્ષની દલીલના અંતે શુક્રવાર સાંજ સુધી 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમિયાન ગુરુવારે સાંજે એલસીબીની ટીમ ધીરેન કારીયાના શહેરમાં રાયજીબાગ સ્થિત નોબલ પ્લેટિનમ ફ્લેટ નંબર 802 ખાતે પહોંચી હતી અને ફલેટની ઝડતી લઈ તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન કંઈ વાંધાજનક મળ્યું ન હતું. 68.64 લાખનો દારૂ કબજે કર્યો’તો ગત તા. 4 સપ્ટેમ્બરની રાત્રે ભેસાણના રફાળીયા ગામની સીમમાં અમરેલીનો ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મનુ વાળા, તેનો ભાગીદાર જેતપુરના અમરનગરનો જયેન્દ્ર જીલુ બસિયા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ કરે તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. કાર્યવાહીમાં રૂપિયા 68,64,900ની કિંમતનો ઇંગ્લિશ દારૂની બોટલો, બિયરના ટીન તેમજ 6 વાહનો સહિત કુલ રૂપિયા 1,16,35,900નો મુદ્દામાલ કબજે કરી ભેસાણ પોલીસ મથકમાં ધર્મેશ વાળા, તેનો ભાગીદાર જયેન્દ્ર બસીયા સામે ગુનો નોંધ્યો હતો. તપાસમાં દારૂનો જથ્થો ધીરેને મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

આયોજન:જામ્યુકોને પીએમ સ્વનિધિ યોજનામાં દ્વિતીય ક્રમાંકનો એવોર્ડ, આસી. કમિશનરે સ્વીકાર્યો

જામનગર શહેરમાં નાના ધંધાર્થીઓના આર્થિક ઉત્થાન માટે લોન પુરી પાડવા માટેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. આ યોજનામાં સારી કામગીરી કરનાર મહાનગરપાલિકાને સન્માન કરવા માટે આજે ગુરૂવારે ગાંધીનગર ખાતે યોજાયેલા સ્વનિધિ સમારોહ યોજાયો હતો. જેમાં જામ્યુકોનો રાજ્યકક્ષાએ બીજો નંબર આપતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગાંધીનગર ખાતે સ્વનિધિ સમારોહ-2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પી.એમ. સ્વનિધિ યોજના ના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યની મેજર સીટીઝ (Major Cities)ની કેટેગરીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલા આ ગૌરવવંતા કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા વતી આસિસ્ટન્ટ કમિશ્નર (વહીવટ) મુકેશ વરણવા એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત જામનગરના નાના અને ફેરિયા વ્યવસાયકારોને લોન સહાય પૂરી પાડવા અને તેમના આર્થિક ઉત્થાન માટે જામનગર મહાનગરપાલિકાએ સરાહનીય કામગીરી કરી છે, જેની નોંધ રાજ્ય સ્તરે લેવામાં આવી છે. આ સિદ્ધિ બદલ મ્યુનિસિપલ કમિશનર અને સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

રજૂઆત:પટેલ કોલોનીમાં દૂષિત પાણી વિતરણ, તંત્ર હરકતમાં આવ્યું

શહેરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દુષિત પાણીના વિતરણ મુદદે સ્થાનિકોના આક્રોશનો વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ્ થયો હતો.જે બાદ ગુરૂવારે કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકો સાથે મનપા કચેરીએ સામુહીક રજુઆત કરાઇ હતી.જે સાથે ગટરનુ પાણી મિશ્રિત થતુ હોવાની બાબતે આવેદન અપાયુ હતુ.ત્વરીત મનપાનુ તંત્ર પણ હરકતમાં આવ્યુ હતુ અને બે દિવસમાં સમસ્યાના નિરાકરણની ખાતરી પણ અપાઇ હતી. શહેરના પટેલ કોલોની-9 સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણીમાં દુર્ગંધયુકત દુષિત પાણીનુ વિતરણ થતુ હોવાના મામલે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.જે પાણીનો પીવામાં તો ઠીક પણ ઉપયોગ પણ દોહ્યો બન્યો હોવાનો આક્રોશ સ્થાનિકોએ વ્યકત કર્યો હતો.જે દરમિયાન ગુરૂવારે શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંબંધિત વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી મહાનગરપાલિકા કચેરીએ પણ સામુહિક રજુઆતો કરાઇ હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા આવેદન પણ પાઠવાયુ હતુ જેમાં જણાવાયા અનુસાર સ઼બંધિત વિસ્તારના લોકોને દુષિત પાણીના કારણે પાણીજન્ય રોગો થઇ રહયા છે.ત્યારે કોઇ મોટી જાનહાની થાય તે પહેલા તાકિદે જરૂરી પગલા લઇ લોકોની જીંદગી સાથે ચેડા ન થાય અને લોકોને સ્વચ્છ પાણી મળે એવી આવેદનમાં રજુઆત કરી હતી.આ દરમિયાન મનપાના સત્તાધિશો દ્વારા ઉપરોકત સમસ્યા મામલે 48 કલાકમાં પાણી સંબંધિત ફરીયાદનો હલ કરવા કાર્યવાહીની ખાત્રી પણ હતી. પાણી પીવાથી 4 લોકો બિમાર: રહીશો લગભગ પખવાડીયાથી દુર્ગંધયુકત સંભવત ગટર મિશ્રિત દુષિત પાણીના વિતરણના કારણે લોકો પીવામાં ઉપયોગ કરી શકતા નથી.જે દરમિયાન સંબંધિત વિસ્તારના ચારેક લોકો પણ પાણીજન્ય બિમારીનો ભોગ બની ચુકયા હોવાનુ પણ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ.જે સાથે દુષિત જળના સેમ્પણ પણ તંત્ર સમક્ષ રજુ કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

રમત ગમત:સાંસદ સંસ્કૃતિ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં અમરેલી વિદ્યાસભાના છાત્રોએ પ્રથમ સ્થાન મેળવ્યું

અમરેલીમાં 4 થી 5 જાન્યુઆરીના રોજ સાંસદ સંસ્કૃતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ તાલુકાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી વિદ્યાસભા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સના વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ- સંગીતમાં પોતાની પ્રતિભાનો ઉત્તમ પરિચય આપી સિદ્ધી હાંસલ કરી હતી. જેમાં વાઘ યશએ મરશિયામાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. તેમજ અજાણી નૈનશીએ હાલરડુંમાં કાંસ્ય પદક મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. અમરેલીમાં સાંસદ સંસ્કૃતિ સ્પર્ધામાં ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓએ સિદ્ધી મેળવી હતી. વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

પરિસંવાદ યોજાયો:રાજપીપલા ખાતે પ્રથમવાર રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ યોજાયો‎

ગુજરાત સાહિત્ય અકાદમી તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, નર્મદા સાહિત્ય સંગમ તથા એમ. આર. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને સંસ્થાના પ્રમુખ પી.ડી.વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગઝલ સાહિત્યના વિકાસ, તેના સ્વરૂપ અને સમય સાથે થયેલા પરિવર્તન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પરિસંવાદમાં વક્તા તરીકે જાણીતા કવિ મંગળ રાવળ, રમેશ પટેલ તથા નૈષધ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગઝલનું સ્વરૂપ અને વિકાસ, ગઝલના પ્રચલિત છંદોના બંધારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પરંપરાગત ગઝલ અને આધુનિક ગઝલ વચ્ચેનો તફાવત, તેમાં રહેલું સાતત્ય તથા બંને વચ્ચેનો સમન્વય સરળ ભાષામાં સમજાવ્યો હતો, જેનાથી ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓને ગઝલ લેખનની ઊંડી સમજ મળી. આ પ્રસંગે બિરસામુંડા યુનિવર્સિટી, રાજપીપળાના વાઇસ ચાંસેલર ડૉ. મધુકર પાડવી, એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોળા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિ જગતાપ સહિત અનેક સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

પતંગ મહોત્સવનું નવું આકર્ષણ:કેવડિયાના આકાશમાં 79 દેશી - વિદેશી પતંગો દેખાશે

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવની તૈયારીઓની ચકાસણી માટે અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમનાં પૂર્વ તૈયારીના સુચારૂ આયોજનના ભાગરૂપે મદદનીશ કલેકટર તથા કાર્યક્રમના નોડલ અધિકારી પરસનજીત કૌર સહિત સંબંધિત અધિકારીઓએ મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતાં. પરસનજીત કૌરએ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક થાય તે હેતુથી સંબંધિત અધિકારી ઓને સોંપાયેલ કામગીરી અંગે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય તેમજ દેશભરમાંથી આવનાર પતંગબાજો માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્ટોલની ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા. નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 તેમજ ગુજરાત સહિત ભારતના 34 મળીને કુલ 79 પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશી સુંદર દૃશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

પાલિકા ટીમે શહેરમાં પાણીની ચકાસણી કરી‎:રાજપીપળા કસ્બાવાડમાં ઝાડા ઉલ્ટીના 13 કેસો, તંત્ર : કલોરીનની માત્રા બરાબર

રાજપીપળા શહેરના કસ્બાવાડ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાયો છે. 15થી વધુ દર્દીઓ નોંધાયા હોવા છતાં પાલિકા તંત્રએ દાવો કર્યો છે કે, પાણીમાં કલોરીનની માત્રા બરાબર છે તેથી રોગચાળો ફેલાવો પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર હોય શકે છે. હાલ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યાં છે. રાજપીપળામાં આવેલા કસ્બાવાડ વિસ્તાર માં તાજેતરમાં ઝાડા-ઉલ્ટીના 13 જેટલા દર્દીઓ મળી આવ્યાં છે. રોગચાળાની જાણ થતાંની સાથે પાલિકા ટીમે તાત્કાલિક આખા શહેરમાં પાણીની ચકાસણી હાથ ધરી છે. પાણીમાં ક્લોરિન ની માત્રા કેટલી છે તેની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે રહી છે. પાલિકાની ટીમના જણાવ્યા મુજબ પાલિકાના પાણી માં ક્લોરિન યોગ્ય માત્રમાં જ છે અને આ પાણીથી કોઈ રોગચાળો થાય તેમ નથી તેવું જોવા મળ્યું છે. હજુ આખા શહેર માં પાણીના ચેકીંગની કામગીરી ચાલી રહી છે. કસ્બાવાડ વિસ્તારમાં પાણીના કારણે ત્યાંના લોકોને રોગચાળો થયો તેમ લાગતું નથી. અન્ય કોઈક કારણસર આમ બન્યું હોય શકે એવું તંત્ર નું કહેવું છે.રોગચાળો ફેલાવો પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર હોય શકે છે. હાલ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યાં છે. પાણીમાં કલોરીનનું પ્રમાણ આ મુજબ હોવું જોઇએ‎‎છેવાડાના ઘરમાં આપવામાં‎‎આવતાં પીવાના પાણીમાં‎‎ઓછામાં ઓછો 0.2 પીપીએમ‎રેસીડયુઅલ કલોરીન હોવો જોઇએ. રોગચાળા દરમિયાન કલોરીનની‎માત્રા 0.5 પીપીએમ જેટલી હોય છે. નગરપાલિકાએ બ્રાહમણ ફળિયા,‎રાજેન્દ્રનગર સોસાયટી, લીમડાચોક, ટેકરા ફળિયા સહિતના‎વિસ્તારોમાંથી લીધેલાં પાણીના નમૂનાઓમાં કલોરીનની માત્રા નિયત‎પ્રમાણમાં જોવા મળી હતી.‎

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

કરુણા અભિયાન:જિલ્લામાં પશુ દવાખાના-વન વિભાગ 4 સ્થળે દોરીથી ઇજા પામેલા પક્ષીઓની સારવાર કરશે

આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે વલસાડના સરકારી પશુ દવાખાના દ્વારા તા.10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત વલસાડની ઉડીપી હોટલના સામે આવેલા સરકારી પશુ દવાખાના તથા પારનેરા પારડી ખાતે સ્થિત વિવિધલક્ષી પશુચિકિત્સાલય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના સરકારી પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડો.દિવ્યા પટેલે જણાવ્યું કે, ઘાયલ પક્ષીઓની સારવાર માટે પશુ ચિકિત્સકોની અલગ અલગ ટીમ બનાવી ડ્યુટીની સોંપણી કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા વલસાડના ફાયર સ્ટેશન તથા ધરમપુર ચોકડી ખાતેનાં કેમ્પમાં ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર માટે પશુ ચિકિત્સાલય વલસાડ ખાતે લાવવામાં આવશે. રેસ્ક્યુ માટે વનકર્મીઓ, વિવિધ એનજીઓ તથા વોલન્ટીયર સાથે મીટિંગ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.વલસાડ શહેર તથા આસપાસની જનતાને ખાસ સંદેશ આપવામાં આવે છે કે, ઉતરાયણના દિવસે વહેલી સવારે તથા સાંજના સમયે પક્ષીઓની માળામાં આવન જાવન થતી હોવાથી આ સમયે શક્ય હોય તો પતંગ ઉડાવવાનું ટાળવું જોઈએ. વધુમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા ટુક્કલનો પતંગ ઉડાડવામાં ઉપયોગ ન કરવો જોઈએ.આ કરૂણા અભિયાનના દિવસો દરમિયાન ઘાયલ પક્ષીના રેસ્ક્યુ અને સારવારની વધુ વિગત માટે વલસાડના સરકારી દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડૉ.દિવ્યા પટેલનો મો.નં.8238887966 પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયુ છે. પારડીમાં દોરામાં ફસાયેલું ઘુવડનું રેસ્ક્યુ પારડીમાં પતંગના દોરામાં ફસાયેલા એક ઘુવડને જીવદયા ગ્રુપે સુરક્ષિત રીતે બચાવી લીધું છે.આ ઘટના પારડી SBI બેંક સામે એક બિલ્ડિંગમાં સવારે 7 વાગ્યે બની હતી.સ્થાનિક લોકોએ ઘુવડને ફસાયેલું જોતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી.માહિતી મળતા જ ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને રિશી ઠાકુર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.લાંબા પ્રયાસો બાદ તેમણે ઘુવડનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

કડક કાર્યવાહી:ઉમરગામમાં 18 દિવસમાં પ્લાસ્ટીક બેગનો 250 કિલો જથ્થો જપ્ત કરાયો

ઉમરગામ પાલિકા તંત્ર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ દ્વારા છેલ્લા 18 દિવસમાં ગાંધીવાડી સહિતના વિસ્તારની દુકાનો અને ગોડાઉનમાં રેઇડ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલોથી વધુ જથ્થો જપ્ત કરી અત્યાર સુધીમાં 70 હજારથી વધુનો દંડ વસૂલ્યો છે. ઉમરગામ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ ઉપર રોક લગાવવા માટે કામગીરી કરવામાં આવી હતી પરંતુ કેટલાક સ્થાનક વેપારીઓ તેમજ નગરજનો તરફથી જોઈએ એટલો સહકાર ન મળતા સમગ્ર પાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો જોવા મળે છે. રવિવારી હાટ બજારમાં આવતા વેપારીઓ પુષ્કળ પ્રમાણમાં કચરો નાંખી જતા હોય છે તેજ રીતે અન્ય વિસ્તારમાં લોકો ગંદકી કરી રહ્યા છે.પાલિકા દ્વારા સફાઈ માટે મહિનામાં લાખોની રકમ ખર્ચ કરવામાં આવે છે તેની સામે ઉમરગામ શહેર વિસ્તારમાં ગંદકી સફાઈ કરવામાં પાલિકા જોઈએ એટલી સફળ નજરે પડતી નથી. સફાઈની કામગીરીમાં પાલિકા દ્વારા થતો વહીવટ સામે પણ શંકા સેવાઈ રહી છે. લાખોનો ખર્ચ કર્યા બાદ પણ નગરની અંદર ઠેર ઠેર ઉડતા પ્લાસ્ટિકનો કચરો ઘણું બધું દર્શાવી રહ્યું છે ત્યારે અચાનક પાલિકા એક્શન મોડમાં આવતા પર્યાવરણ પ્રેમી નગરજનોમાં આશા જાગી છે.ગુરૂવારે એક સપ્લાયરની બંધ ગોડાઉનમાં છાપો મારી મોટો જથ્થો જપ્ત કન્યાનું જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

સોમનાથ સ્વાભિમાન પર્વ:ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ , આરાધનાનો ત્રિવેણી સંગમ સર્જાયો‎

આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના 1 હજાર વર્ષની ભવ્ય ઉજવણીના સોમનાથ સ્વાભિમાન પર્વ'' નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર પર્વના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ જામ્યો છે. વલસાડના સુપ્રસિદ્ધ ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં આ અવસરે શ્રીચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિરે સતત 72 કલાક સુધી મહાદેવની વિશેષ પૂજા-અર્ચનાઅને શિવ આરાધના શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવનો અભિષેક કરવામાં આવશે.પ્રથમ દિવસે ભક્તો દ્વારા અખંડ શિવ ધૂન અને કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ પવિત્ર પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી સોનલબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે જિ. મહામંત્રી કમલેશ પટેલ,તાલુકા પ્રમુખ તેજસ પટેલ અને મહામંત્રી અમૃત ટંડેલ, સંગઠનના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પૂજ્ય સાધુ-સંતોએ ઉપસ્થિત રહી મહાદેવના આશીર્વાદ લીધા હતા. સ્વાભિમાન પર્વનું મહત્વ વક્તાઓએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર એ ભારતની અસ્મિતાનું પ્રતીક છે. 1000 વર્ષની આ ઉજવણી આવનારી પેઢીને આપણા ભવ્ય વારસા અને સંઘર્ષની ગાથાથી પરિચિત કરાવશે, વલસાડના ભક્તોમાં પણ આ ત્રિવેણી સંગન પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

દર વર્ષની માફક વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું:મકરસંક્રાંતિમાં ચાઈનીઝ તુક્કલ‎નાયલોન દોરી ઉપર પ્રતિબંધ‎

વલસાડ જિલ્લામાં આગામી તા. 14 જાન્યુઆરી, 2026 ના રોજ મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન જાહેર સલામતી, પશુ-પક્ષી સંરક્ષણ તેમજ પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઈને વહીવટી તંત્રએ ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક તથા નાયલોન દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રકારના હાનિકારક સામગ્રીના ઉપયોગથી આગ લાગવાની ઘટનાઓ, માનવી તેમજ પશુ-પક્ષીઓને જાનહાનિ અને જાહેર-ખાનગી મિલકતને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. આ સંભાવનાઓ અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને તા. 17 જાન્યુઆરી, 2026 સુધી માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કર્યો છે.જેમુજબ પરંપરાગત રીતે બનાવવામાં આવેલ કોટનનો માંજો, જેમાં કુદરતી ઘટકોનો ઉપયોગ કરાયો હોય અને નિર્ધારિત પ્રમાણમાં કાચના પાવડરનો સમાવેશ થતો હોય, તેનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત જાહેર રસ્તાઓ, ગલીઓ, શેરીઓ, રેલ્વે લાઇન તથા ઇલેક્ટ્રિક અને ટેલીફોન વાયરોની નજીક પતંગ ઉડાડવા કે કપાયેલા પતંગો મેળવવા માટે દોડધામ કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સપેક્ટર કે તેથી ઉપરના હોદ્દાના અધિકારીઓને હુકમના અમલ માટે અધિકૃત કરવામાં આવ્યા છે. દર વર્ષે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાનહાની અને નુકશાની થતી રોકવા માટે ચાઇનીઝ તુક્કલ અને નાયલોન દોરી ઉપર પ્રતિબંધ મુક્યાનો આદેશ કરતા હોય છે. જોકે, પતંગની સામાન્ય દોરીથી પણ પશુ-પક્ષી અને માનવને ઇજા પહોંચે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વલસાડ રેલવે અન્ડર પાસ પ્રિકાસ્ટના કામો માટે 50 દિવસથી બંધ, 22 હજાર લોકોને 4 કિમીનો ચકરાવો

હસીન શેખવલસાડ મોગરાવાડી રેલવે અન્ડરપાસના બ્લોકની કામગીરીના કારણે છેલ્લા 50 દિવસ વિતી ગયા છતાં ક્યારે ખોલાશે તેની રેલવે તંત્ર દ્વારા કોઇ સત્તા‌વાર જાહેરાત નહિ થતાં 22 હજાર રહીશોને લાંબા સમયથી પરેશાનીનો ભોગ બની રહ્યાં છે. વલસાડ મોગરાવાડી ખાતે પ.રેલવે ગરનાળા ક્રમાંક 329 પીએસસી ગર્ડર બદલવાની કામગીરી સ્લેબ માટે 20 નવેમ્બર 30 નવેમ્બર સુધી અંડરપાસ ગરનાળાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ મુદત પૂરી થવાના આગલા દિવસે 29 ડિસેમ્બર રેલ્વે તંત્રે મુદત વધારાનું વધુ એક માસ 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરતાં 22 હજારથી વધુ વસ્તીને ભારે આંચકો લાગ્યો પણ તેનાથી વધુ અચંબો તો ત્યારે થયો કે 1 જાન્યુઆરીએ ખોલવાની જાહેરાત નહિ કરી વધુ 8 દિવસ વિતી ગયા છતાં રેલવે તંત્ર કે નગરપાલિકા સત્તાધીશો,સભ્યોને પણ રેલવે તંત્ર સમક્ષ અન્ડર પાસ કેમ ખોલવામાં આવ્યું નહિ તેવી રજૂઆતો કરવાની ફુરસદ મળી નહિ. જ્યારે ગુરૂવારે પાલિકાના મોગરાવાડી ઝોનના માજી વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ,પૂર્વ કાઉન્સિલર સંજય ચૌહાણ મેનેજર,વિજય પટેલ દ્વારા અન્ડર પાસ ક્યારે ચાલું થશે તે માટે વાતચીત કરતાં બે ત્રણ દિવસ લાગશે તેવું જણાવતા સોશ્યિલ મીડિયા દ્વારા આ અન્ડર પાસ ખુલ્લું કરવાની તૈયારી થઇ રહી હોવાનું જણાવ્યું હતું.જો કે અન્ડર પાસ બંધ કરવાના બોર્ડ મારે છે પણ નિર્ધારિત સમયે ખુલ્લું કરવા અંગે રેલવે તંત્ર કોઇ સત્તાવાર બોર્ડ કે જાહેરાત કરતું નથી. શાસક પક્ષના સભ્યો હવે જાગ્યામોગરાવાડી અન્ડર પાસ ત્રણેક દિવસમાં ખુલ્લું થઇ જશે તેવી માહિતી જાહેર કરતાં ભાજપના સ્થાનિક સભ્યો દોડતાં થઇ ગયા હતા. રેલવે તંત્રએ અન્ડરપાસમાં રાહદારીઓ માટે ચાલવાની અગાઉની 3 ફુટ પહોળી પાળી તોડીને દોઢેક ફુટની સાંકડી કરી દેતાં વિપક્ષનાસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. તંત્ર દ્વારા ગુરૂવારે પાળી પહોળી કરવાની તજવીજ, અન્ડરપાસમાં સફાઇ અને લાઇટ લગાવવી પણ દોડધામ શરૂ થઇ જતાં વિપક્ષના માજી સભ્યોએ હવે તેમની આ દોડધામ સામે જાગ્યા તેવો ટોણોં માર્યો હતો. નીચાણમાં ભૌગોલિક પરિસ્થિતિનો પડકાર‎મોગરાવાડીના રેલવે અન્ડર પાસ વલસાડ અને મોગરાવાડી વચ્ચેના‎નીચાણવાળા વિસ્તારમાં અંગ્રેજોના પૂરાણાં સમયથી બનેલો છે.આ ભૌગોલિક‎‎પરિસ્થિતિ પાલિકા અ્ને તંત્ર માટે‎‎પડકાર જનક છે.કારણ કે વલસાડ‎શહેરના બેચર રોડથી મોગરાવાડી જવાનો ભાગ નીચાણવાળો છે. પૂર્વમાં‎મોગરાવાડી ઝોનના પ્રવેશ દ્વાર રેલવે અન્ડર પાસ સુધી જતો રસ્તો બેચર‎રોડની સપાટીથી અંદાજિત 15થી 20 ફુટ નીચો છે. આ અન્ડરપાસની લંબાઇ‎પણ ફ્રેઇટકોરિડોરના કારણે વધી ગઇ છે.જેની ઉપરથી ટ્રેનો પસાર થાય‎છે,જેના લગભગ 10થી વધુ ટ્રેક છે.જેથી નાગરિકોની સુવિધા માટે કાયમી‎ઉકેલ ફલાય ઓવર બનાવવું અનિવાર્ય બની ગયું હોવાની માગ થઇ રહી છે.‎ 2થી વધુ વખત મુદ્દતમાં વધારો કરાયોમોગરાવાડી રેલવે અન્ડર પાસનો પ્રિકાસ્ટના કામ માટે 31 ડિસેમ્બર 2025 બંધ રાખવાની અગાઉ જાહેરાત હતી,પણ તારીખ વિતી ગઇને 8 દિવસ થઇ ગયા છતાં અન્ડર પાસ ચાલૂ નહિ થવાના કારણે 50 દિવસથી 22 હજાર લોકોને ભારે પિડા ભોગવવી પડી રહી છે. ગુરૂવારે રેલવેના સુપરવાઇઝર સાથે વાતચીત કરતા બે અન્ડર પાસ હવે 10,11 જાન્યુઆરીએ ચાલૂ થશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર નોલેજ:આદિવાસી સમાજના બાળકો પાસે મજૂરી કરાવી‎માર મારતા હોવાનો શિક્ષિકા સામે કરાયો આક્ષેપ‎

ગુરુને માતા-પિતાથી પણ ઉપરનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ તરસાડી ગામની પ્રાથમિક શાળામાં આ મર્યાદા લજવાઈ હોવાની ઘટના સામે આવી છે. અહીંની એક શિક્ષિકા દ્વારા આદિવાસી બાળકો, ગ્રામજનો અને એસએમસી સભ્યો સાથે અત્યંત ઉદ્ધત અને અશોભનીય વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે. તરસાડી ગામના આદિવાસી સમાજ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને ફરિયાદમાં જણાવાયું છે કે હાલમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા શાળામાં ભણતા આદિવાસી બાળકો, એસએમસી સમિતિના સભ્યો અને ગ્રામજનો સાથે અત્યંત ઉદ્ધત અને અશોભનીય વર્તન કરી રહ્યાં છે, જેના કારણે વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ શિક્ષિકા બાળકોની નાની નાની ભૂલોને ગંભીર ગણી તેમની પર બેફામ ગુસ્સે થાય છે. સજાના બહાને માનસિક ત્રાસ થાય તેવા કામો કરાવાય છે. RTE એક્ટ અતર્ગત શિક્ષકો સામે શું કાર્યવાહી થઈ શકે ​RTEમાં બાળકોને ગંભીર સજાની જોગવાઈ નથી. જો કોઈ શિક્ષક આ નિયમનું ઉલ્લંઘન કરે, તો તેમના વિરુદ્ધ કલમ-17 મુજબની કાર્યવાહી થઈ શકે છે. જેમાં ​શિસ્તભંગના પગલાં: જે તે શાળા કે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સામે ખાતાકીય તપાસ થઈ શકે છે. ​નોકરી પર જોખમ: ગંભીર કિસ્સામાં શિક્ષકને નોકરીમાંથી સસ્પેન્ડ કે બરતરફ પણ કરી શકાય છે. ​પોલીસ ફરિયાદ: જો સજા ગંભીર હોય, તો ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ’ હેઠળ ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. ત્રાસથી સાત બાળકોએ તો અન્ય શાળામાં પ્રવેશ લીધોછેલ્લા ત્રણ વર્ષથી શિક્ષિકા મોટા ભાગના બાળકોને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરી રહી છે. આ અંગે રજૂઆત કરવા ગયા પણ આ શિક્ષક દ્વારા અમારું અપમાન કર્યું અને કેસ કરવાની ધમકી આપી હતી. ઘણાં બાળકોને વાળ ખેંચીને મારવા, તેઓ ભયમાં રહે તેવા વાતાવરણ બનાવવું અને બાથરૂમ ટોયલેટ સજાના સ્વરૂપે સાફ કરાવતા હોય અમારા ગામના લોકોએ શિક્ષિકાના ગેરવર્તનથી પોતાના બાળકોને નજીકમાં આવેલી શાળામાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું છે. છેલ્લા બે વર્ષમાં શાળામાં અભ્યાસ કરતા 7 બાળકોએ અન્ય શાળામાં પ્રવેશ લીધો. > વિનોદભાઈ રાઠોડ, આદિવાસી આગેવાન

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:ખારેલ-એના એક્સપ્રેસ વે શરૂ નહીં કરાય, પુનઃ તારીખ લંબાઇ

એક્સપ્રેસ હાઇવેના કીમ ભરૂચ પેકેજમાં હજુ કામ બાકી હોય એનાથી ખારેલ માર્ગ પણ ગુરુવાર મધ્યરાત્રિથી શરૂ થશે નહીં એવી જાણકારી મળી છે. મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી ભરૂચ અને એનાથી કીમ વાહનવ્યવહાર શરૂ થઈ ગયો છે. જોકે કીમથી ભરૂચનો પેકેજ 5 અને ખારેલથી એના વચ્ચેનો પેકેજ 7 શરૂ કરાયો નથી. આ દરમિયાન ખારેલ એના પેકેજનું કામ પૂર્ણ થયું હોય ગુરુવાર મધ્યરાત્રિથી પેકેજ ખુલ્લો મૂકવાની વાત બહાર આવી હતી. જોકે ગુરુવારે દિવસે પ્લાનિંગ બદલાયું હતું. ખારેલ એના પેકેજ તો તૈયાર થઈ ગયો પણ કીમ ભરૂચ પેકેજનું કામ બાકી હોય ખારેલ એના વચ્ચે પણ ગુરુવાર મધ્યરાત્રિથી રોડ શરૂ નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. બન્ને પેકેજ સાથે શરૂ કરવાની પણ જાણકારી મળી અને હજુ થોડો વિલંબ થશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર એનાલિસીસ:નવસારી જિ.પંચાયતના મહત્તમ અગ્રણી હવે ચૂંટણી નહી લડી શકે

નવસારી જિલ્લા પંચાયતની બેઠકોની જાહેર થયેલ અનામત બેઠકોની સ્થિતિ જોતા હાલના મહત્તમ અગ્રણીઓ ચૂંટણી લડી શકે નહી. નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકોનું નવું સીમાંકન અને તમામ બેઠકોની અનામત સ્થિતિ અંગેનો પ્રાથમિક આદેશ રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડ્યો છે. આ આદેશમાં ઘણી બેઠકોની અનામત સ્થિતિ બદલાઈ ગઈ છે. મહત્વની બાબત એ છે કે હાલમાં મહત્વના પદ ઉપર રહેલ અગ્રણીઓની બેઠકની અનામત સ્થિતિ બદલાઈ ગઈ છે. આ અંગેની વિગત જોતા પ્રમુખ પરેશ દેસાઈની વાંઝણા બેઠક બિન અનામતની જગ્યાએ એસટી, ઉપપ્રમુખ અંબાબેન માહલાની બારતાડ બેઠક એસટી સ્ત્રીની જગ્યાએ ઓબીસી સ્ત્રી, કારોબારી ચેરમેન અરવિંદ પાઠકની સુપા બેઠક એસસીની જગ્યાએ એસટી સ્ત્રી થઈ ગઈ છે. અન્ય અગ્રણીઓની બેઠકો જોઈએ તો પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શીલાબેન પટેલની ગણદેવા બેઠક ઓબીસી સ્ત્રીની જગ્યાએ એસટી સ્ત્રી, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નિકિતા પટેલની સરીબુજરંગ બેઠક એસટી સ્ત્રીની જગ્યાએ સામાન્ય સ્ત્રી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાબજુભાઈ ગાયકવાડની વાંગણ બેઠક એસટીની જગ્યાએ બિનઅનામત થઈ ગઈ છે. જોકે ખેત ઉત્પાદન સમિતિના ચેરમેન નિકુંજ પટેલની સમરોલી બેઠક પુનઃ એસટી જ રહી છે, જે અગ્રણીઓની બેઠકની અનામત બદલાઈ તેઓ પુનઃ જિલ્લા પંચાયત ચૂંટણી લડે એવી શક્યતા નહિવત યા ખૂબ ઓછી છે. જો આખરી આદેશમાં અનામત સ્થિતિ બદલાઈ તો કદાચ લડી શકે,જે શક્યતા જૂજ છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

તંત્ર નિંદ્રાધીન:મનપાના ‘સબ સલામત’ વચ્ચે વધુ 3 લીકેજ મળ્યાં

ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળાને એક અઠવાડિયાનો સમય થઇ ગયો છે અને તંત્ર તમામ જગ્યાએ શુદ્ધ પાણી મળતું હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે હજુ પણ પાઇપલાઇનમાંથી સતત લિકેજ મળી રહ્યા છે. સેક્ટર-28માં મોટું લિકેજ મળી આવ્યું હતું. ગુરૂવારે વધુ 3 લિકેજ મળતાં લિકેજનો આંક 48એ પહોંચ્યો છે. શહેરમાં 3110 ક્લોરિન ટેસ્ટ કરાયાશહેરમાં દૂષિત પાણીથી ફેલાયેલા રોગચાળા બાદ સેક્ટરોમાં અપાતા પીવાના પાણીમાં રોજેરોજ મોટા પ્રમાણમાં ક્લોરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3110 ક્લોરીન ટેસ્ટ કરાયા છે જેમાંથી 2977 સેમ્પલમાં પાણી પીવા યોગ્ય હોવાનું જમઆયું છે. ગુરુવારે એક જ દિવસમાં વધુ 608 ક્લોરીન ટેસ્ટ કરાયા હતા. મ્યુનિ. કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધીમ્યુનિસિપલ કમિશનરે ગુરુવારે સેક્ટર-24 અર્બન હેલ્થ સેન્ટર, ઇન્દિરાનગર, સેક્ટર-28, સેક્ટર-26 અને આદિવાડાની મુલાકાત લીધી હતી. તેમણે ઘરે ઘરે પીવાના પાણીમાં ક્લોરીનની માત્રા ચકાસી હતી. સેક્ટર-24 અને 26ના આરોગ્ય કેન્દ્રોની સર્વેલન્સ ટીમો સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન શંકાસ્પદ કેસોમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

સારવાર:મોઢાના કેન્સરના વહેલા નિદાન માટે પાઇલોટ પ્રોજેક્ટ

મોઢાંના કેન્સરની વહેલી ઓળખ અને સમયસર નિદાન- સારવાર માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ- (ICMR)ના સહયોગથી એક મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ ગાંધીનગર જિલ્લામાં અમલમાં મૂકાઈ રહ્યો છે. હાલ ગાંધીનગર તાલુકામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં તેમનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મોઢાનું કેન્સર થાય તે પહેલાના સ્ટેજ (ઓ.પી.એમ.ડી.)ની વહેલી ઓળખ માટે નવી તકનીક (ઓટોફ્લોરેશન્સ અને ટોલ્યુડીન બ્લૂ) ની અસરકારકતા માપવી અને સારવાર માટે પદ્ધતિ વિકસાવવાનો છે. પ્રોજેક્ટનું અમલીકરણ નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્ય આરોગ્ય વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ ગાંધીનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય સહયોગી સંસ્થાઓ સક્રિય ભાગીદાર તરીકે જોડાયેલા છે. આ પ્રોજેક્ટના પરિણામે મોઢાના કેન્સરની વહેલી ઓળખમાં નોંધપાત્ર વધારો થશે, કેન્સરના એડવાન્સ સ્ટેજમાં પહોંચતા કેસોમાં ઘટાડો થશે અને દર્દીઓને સમયસર અને અસરકારક સારવાર મળી શકશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

કામગીરી:GMC દ્વારા મીટરના બિલનું ટેસ્ટિંગ ચાલુ કરી દેવાયું

શહેરમાં 24 કલાક પાણી આપવાની સાથે દરેક ઘરમાં પાણીના વપરાશનો મીટર દીઠ ચાર્જ વસૂલવામાં આવનાર છે પરંતુ હજુ સુધી મનપા દ્વારા પાણી વિતરણની જવાબદારી સ્વીકારી નથી, મીટર પ્રમાણે પાણી વપરાશના દર નક્કી કરાયા નથી છતાં હાલમાં જ પાણી વપરાશના ચાર્જ વસૂલાતનું ટેસ્ટિંગ ચાલું કરી દેવાયું છે. પાણીના ચાર્જ અંગેના મેસેજ મળતાં લોકો ચોંકી ઉઠ્યા છે. જોકે, આ માત્ર ટેસ્ટિંગ હોવાની સ્પષ્ટતા મનપાએ કરવી પડી છે. ગાંધીનગરમાં 24 કલાક પાણીની યોજના હેઠળ દરેક ઘરમાં પાણીના મીટર મૂકવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી આ યોજનાનું સત્તાવાર લોકાર્પણ થયું નથી. હાલ ટાઇફોઇડના રોગચાળાને કારણે તમામ સેક્ટરોમાં એકમાત્ર આ લાઇનથી પાણી આપવામાં આવે છે. મહાનગરપાલિકા પાણી વિતરણની જવાબદારી ક્યારથી સંભાળશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. મહાનગરપાલિકા પાણી વિતરણની જવાબદારી સંભાળે તે પછી મીટરના યુનિટ દીઠ દરો નક્કી કરે અને તેના વાંધા સૂચનો મંગાવે તેના નિકાલ પછી સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં મંજૂરી મળે ત્યારબાદ તેનો અમલ શરૂ થાય. આટલી લાંબી પ્રક્રિયા હજુ બાકી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાણીના મીટર મારફતે ચાર્જ વસૂલવાના મેસેજ- નોટીફિકેશનના ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

વાતાવરણ:તાપમાનનો પારો ઉંચકાતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, ભેજનું પ્રમાણ 67 ટકા

પાછલા ચાર દિવસની સરખામણીએ ગુરુવારે ઠંડીની અસરમાં આંશિક ઘટાડો નોંધાયો છે. બુધવારની સરખામણીએ ગુરૂવારે લઘુતમ તાપમાન 1.4 ડિગ્રી જેટલું ઉચકાયું છે. જોકે, હજુ પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે. ચાર દિવસ અગાઉ જ્યારે સિઝનની મહત્તમ ઠંડી નોંધાઈ હતી, તેના પછી ઠંડીનું જોર સતત ઘટી રહ્યું હોવા છતાં રાત્રિના તાપમાનમાં હજુ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. ગુરુવારે લઘુતમ તાપમાન વધારા સાથે 13.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 0.9 ડિગ્રીના વધારા સાથે 26.5 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે 67 ટકા અને સાંજે 49 ટકા જેટલુ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મનપા કેસ ઘટવાના દાવા કરે છે પણ વાસ્તવિકતા જુદી છે, દવાખાનાં ઉભરાય છે, OPDમાં લાઇન છે, બ્લડ ટેસ્ટ માટેનાં ફોર્મ ખૂટી પડ્યાં

શહેરમાં દૂષિત પાણીથી ફેલાયેલો રોગચાળો તંત્ર કાગળો પરના આંકડામાં સિમિત રાખે છે પરંતુ જમીની વાસ્તવિકતા ઘણી અલગ છે. તંત્ર કહી રહ્યું છે કે કેસો ઘટી રહ્યા છે પરંતુ બિમાર લોકોથી આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલની ઓપીડી ઉભરાઇ રહી છે. ભાસ્કરે આ સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે સેક્ટર-29ના મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં તો બ્લડ ટેસ્ટ માટે એટલી મોટી ડિમાન્ડ ઉભી થઇ છે કે લેબ ટેસ્ટ કરાવવા માટેના ફોર્મ જ ખૂટી ગયા હતા. ફોર્મ આવે તેની રાહ જોઇને દર્દીઓ કલાકો સુધી ઉભા રહ્યા હતા. આ દરમિયાન કેટલાક દર્દીઓની હાલત એવી હતી કે તેઓ ઉભા રહી કે બેસી શકે તેમ ન હતા. તેઓ આરોગ્ય કેન્દ્રના સંકુલમાં આવેલા બાંકડા પર સૂઇ જવું પડ્યું હતું. કલાકો બાદ આખરે ફોર્મ આવ્યા હતા અને દર્દીઓના સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે માત્ર સેક્ટર-29ના જ આરોગ્ય કેન્દ્રો પર દરરોજ 80 જેટલા દર્દીઓના બ્લડ સેમ્પલ લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે. આ કેન્દ્રમાં સેક્ટર-28, આદિવાડા અને ચરેડી વિસ્તારના દર્દીઓ વધારે હતા. દર્દીઓ તાવ, ઝાડા- ઉલ્ટી સહિતના ટાઇફોઇડને લગતા લક્ષણો સાથે સારવાર માટે આવી રહ્યા છે. કેટલાક દર્દીઓ તો બીજી કે ત્રીજી વખતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રકારની સ્થિતિ હાલ દરેક દવાખાનાઓમાં જોવા મળી રહી છે. યોગાનુયોગ આ જ દિવસે મ્યુનિસિપલ કમિશનરે પણ વિવિધ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

કાર્યવાહી:દારૂ પીને અણછાજતું વર્તન કરનારને યુવતીએ પોલીસમાં પકડાવી દીધો

એરપોર્ટથી ગાંધીનગર આવી રહેલી ભાજપના સ્થાનિક નેતાની પુત્રીએ રસ્તામાં દારૂ પીને અણછાજતું વર્તન કરનાર બે યુવાનોની કારનો પીછો કરીને તેને પોલીસમાં પકડાવી દઇને હિંમત દાખવી છે. પોલીસે રસ્તા પર નાકાબંધી કરીને આ બંને યુવાનોને કુડાસણ રીલાયન્સ સર્કલ પાસેથી ઝડપી લીધા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી પોતાની કારમાં ગાંધીનગર પરત ફરી રહેલી યુવતીની કારને એરપોર્ટ સર્કલ પાસે એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર (નંબર GJ-18-BS-4024) માં સવાર બે શખ્સોએ આંતરી હતી. દારૂના નશામાં ચૂર આ બંને શખ્સોએ યુવતી સાથે અણછાજતું વર્તન કર્યું હતું અને ધાક-ધમકી આપી હતી, યુવતીએ જોયું કે, બંને ઈસમો દારૂના નશામાં ચૂર હતા, પરંતુ આવી સ્થિતિમાં ડરવાને બદલે યુવતીએ સાહસ બતાવ્યું હતું. માથાકૂટ કર્યા બાદ નબીરાઓ કાર પૂરપાટ ઝડપે ગાંધીનગર તરફ હંકારી ગયા હતા, જેની પાછળ યુવતીએ પોતાની કાર દોડાવી હતી અને સતત પીછો કરતા પોતાના પિતાને ફોન પર આ અંગે જાણ કરી હતી. યુવતિના પિતા ભાજપના સ્થાનિક નેતા છે અને ગાંધીનગર મહાનગરપાલિકામાં પદાધિકારી રહી ચૂક્યા છે. તેમણે આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેના પગલે ઇન્ફોસિટી પોલીસ સક્રિય થઈ હતી અને રિલાયન્સ સર્કલ પાસે કડક નાકાબંધી કરી દેવામાં આવી હતી. દરમિયાન, રિલાયન્સ સર્કલથી શાહપુર સર્કલ તરફ અત્યંત જોખમી રીતે અને સર્પાકાર ગતિએ કાર ચલાવીને પહોંચેલા બંને શખ્સોને પોલીસે આંતરી લીધા હતા. પૂછપરછમાં પકડાયેલા શખ્સોના નામ ધવલ ગાંડાભાઇ ચૌધરી અને વિશાલ મનુ ભાઈ મિસ્ત્રી (બંને રહે. ભીમપુરા, તા. માણસા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 10 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર જપ્ત કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી જેલ ભેગા કર્યા હતા. એકબાજુ જ્યાં આવી ઘટનાઓમાં લોકો ડરી જતા હોય છે, ત્યાં યુવતીએ એકલે હાથે પીછો કરી તત્વોને પકડાવતા આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

મુસાફરોની મુસાફરી વધુ‎ સુખદ બનશે:ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલા જ કન્ફર્મ ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે

પશ્ચિમ રેલવેના રતલામ મંડળ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ટ્રેન રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર કરાયો છે. રેલવે બોર્ડના આદેશ અનુસાર હવે મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તેની જાણકારી ટ્રેન ઉપડવાના ઘણા સમય પહેલા મળી જશે. આ નવી વ્યવસ્થા આગામી 11 જાન્યુઆરી 2026થી પ્રાયોગિક ધોરણે અમલી બનાવનાર છે. રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, હવેથી ટ્રેનના પ્રસ્થાન સમયને આધારે પ્રથમ ચાર્ટ તૈયાર કરવાની નવી સમય મર્યાદા નક્કી કરાઈ છે. જે ટ્રેનો સવારે 5:01થી સાંજે 6 વાગ્યાની વચ્ચે ઉપડવાની છે. તેનો પ્રથમ રિઝર્વેશન ચાર્ટ મુસાફરીના એક દિવસ અગાઉ રાત્રે 8 વાગ્યા સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. સાંજે 6.01 થી બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી પ્રસ્થાન કરતી ટ્રેનો માટે ચાર્ટ ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમયથી ઓછામાં ઓછા 10 કલાક પહેલા તૈયાર થશે. અત્યાર સુધી મુસાફરોને ચાર્ટ તૈયાર થવાની છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડતી હતી. હવે 10 કલાક અગાઉ ચાર્ટ તૈયાર થવાથી મુસાફરો પોતાનું વેઇટિંગ લિસ્ટ કે આરએસી (RAC) સ્ટેટસ વહેલું જાણી શકશે. તે મુજબ રેલવે સ્ટેશને પહોંચવા કે અન્ય વિકલ્પ પસંદ કરવા માટે પૂરતો સમય મેળવી શકશે. રેલવે પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે માત્ર પ્રથમ રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર થયો છે. દ્વિતીય આરક્ષણ ચાર્ટ જે ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવે છે. તેની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. આ વ્યવસ્થાથી રેલવેની કાર્યક્ષમતા વધશે અને મુસાફરોની મુસાફરી વધુ સુખદ બનશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

પરિણીતાને ત્રાસ અપાયો:સંજેલીની પરિણીતાને 3 લાખ અને સોનાની ચેઇન માટે ત્રાસ

સંજેલી તાલુકાના કોટા તળાવ ફળીયાની 27 વર્ષીય પરિણીતાએ સંતરામપુર સ્થિત તેના સાસરિયાઓ વિરુદ્ધ દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ દાહોદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. લગ્નના ટૂંકા ગાળામાં જ શરૂ થયેલો ત્રાસ સમાધાનના અનેક પ્રયાસ છતાં ચાલુ રહેતા અંતે મામલો પોલીસમાં પહોંચ્યો છે. દિવ્યાબેન વખતસીંહ ચારેલના લગ્ન માર્ચ 2023માં સંજયભાઈ દેવાભાઈ તાવિયાડ રહે. ઘાટીયા ગોઠીબ, સંતરામપુર સાથે થયા હતા. લગ્ન બાદ વડોદરા રહેવા ગયા ત્યારથી જ પતિ અને સાસરી પક્ષ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા અને અવગણના શરૂ કરાઈ હતી. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમને પૂરતો ખોરાક કે સારવાર આપવામાં આવી ન હતી અને પિયરમાંથી 3 લાખ લાવવા દબાણ કરાતું હતું. એટલું જ નહીં, ડિલિવરીનો તમામ ખર્ચ પણ પરિણીતાના પિતાએ ભોગવ્યો હતો. ગત 18 ડિસેમ્બર 2025ના રોજ ફરીથી 3 લાખ અને સોનાની ચેઇનની માંગ સાથે પરિણીતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા તેમણે 112 પર મદદ માંગી હતી. અંતે કંટાળીને પરિણીતાએ પતિ સંજયભાઈ, સસરા દેવાભાઈ, સાસુ કાન્તાબેન અને નણંદ સુરેખાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દાહોદ મહિલા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ચાર સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ઉત્તરાયણ પૂર્વે પોલીસની કડક કાર્યવાહી:દે.બારિયામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો, 5 ફિરકા કબજે

આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને જીવલેણ ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ તેમજ વપરાશને રોકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના મુજબ દેવગઢ બારીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. રાજપૂત અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, દેવગઢ બારીયાના કસ્બા વિસ્તારમાં આવેલ કાદરી ફળીયામાં હેદારહુસેન નજ્જુમહમદ શેખ પોતાના ઘરમાં ચાઇનીઝ દોરી રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સત્વરે રેઇડ કરી આરોપીના ઘરેથી ચાઇનીઝ દોરીના 5 નંગ ફિરકા કબજે કર્યા હતા, જેની કિંમત અંદાજે 5000 આંકવામાં આવી છે.પોલીસે પ્રતિબંધિત મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી હેદારહુસેન નજ્જુમહમદ શેખ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. કે.કે. રાજપૂત, પી.એસ.આઈ. ડી.આઈ. સોલંકી અને તેમની ટીમ જોડાઈ હતી. ચાઇનીઝ દોરી માનવીઓ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી પોલીસે નાગરિકોને આવી જોખમી દોરીનો ઉપયોગ ન કરવા અને ગેરકાયદે વેચાણ કરનારાઓ વિશે પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:રળિયાતીમાં દારૂની રેઈડની અદાવતે પિતા - પુત્રે હેડ કોન્સ્ટેબલ પર કુહાડી ઝીંકી હતી

દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી પર દાહોદના રળિયાતી ગામે બુધવારે સાંજે હિંસક હુમલો થવાની ઘટના સામે આવી હતી. અગાઉ પાડેલી દારૂની રેઈડનો બદલો લેવાના ઇરાદે આ હુમલો કરાયો હતો. રૂરલ પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના બીટ નંબર-1 ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ રમેશભાઈ ડામોર બુધવારે સાંજે આશરે 5.30 વાગ્યે GRD જવાન સાથે સરકારી યુનિફોર્મમાં રળીયાતી ગામના ઓળી આંબા ફળીયામાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સ્થાનિક રહીશ મોતીભાઈ અનુપભાઈ ગણાવા પોતાના ઘરના ઓટલા પર બેસીને દારૂ પીતા હોવાનું જણાયું હતું. જ્યારે પોલીસ કર્મચારીએ ત્યાં જઈને પૂછપરછ શરૂ કરી ત્યારે મોતીભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. બોલવા લાગ્યા હતા કે, “તમે તો મારા પર બે કેસ કરી નાખ્યા છે, આજે તને જીવતો છોડવો નથી”. ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે મોતીભાઈ ઘરમાંથી કુહાડી લઈને આવ્યા અને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. સંતોષભાઈએ બચાવમાં તેમને ધક્કો માર્યો પરંતુ તેટલામાં જ મોતીભાઈનો પુત્ર તુષાર ગણાવા ત્યાં પહોંચી ગયો હતો. તુષારે તેના પિતાના હાથમાંથી કુહાડી છીનવી લીધી અને “આજે તો તને મારી જ નાખવો છે” તેમ કહીને હેડ કોન્સ્ટેબલના માથાના ડાબી બાજુના ભાગે કુહાડીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. આ મામલે ઘાયલ સંતોષભાઇની ફરિયાદના આધારે પિતા-પૂત્ર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

વાર્તા સ્પર્ધા યોજાઈ:પોરબંદર ખાતે તાલુકા કક્ષાની ત્રણ કેટેગરીમાં વાર્તા સ્પર્ધા યોજાઈ, 57 સ્પર્ધકોએ ભાગ લીધો

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી.ભવન-પોરબંદર દ્રારા આયોજિત NEP 2020 અંતર્ગત નિપુણ ભારત થીમ આધારિત પોરબંદર તાલુકા કક્ષા વાર્તા સ્પર્ધાનું આયોજન રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે યોજવામાં આવેલ હતું.જેમાં પોરબંદર તાલુકાના કુલ 57 બાળ વાર્તાકારોએ ભાગ લીધેલ હતો. બાલવાટિકા થી ધોરણ 2 સુધીના બાળ વાર્તાકારો એ વાર્તા નિર્માણ,ધોરણ 3 થી 5 સુધીના બાળ વાર્તાકારોએ વાર્તા નિર્માણ તેમજ ધોરણ 6 થી 8 સુધીના બાળકોએ વાર્તા લેખન જેવી કુલ ૩ સ્પર્ધાનું આયોજન થયેલ હતું.આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ ઇનામ ની કીટ એનાયત કરવામાં આવેલ હતી. ઇનામ ની કીટ નિર્ણાયક ખિસ્ત્રી પ્રા શાળાના ઉત્સાહી શિક્ષક હમીરભાઇ ખિસ્તરીયા દ્વારા તમામ બાળકો ને આપેલ હતી.તમામ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ હતા.તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ નિર્ણાયક અને બ્લોક પોરબંદરની તમામ ટીમને પણ પ્રમાણપત્ર અને ઇનામ ની કીટ આપવામાં આવેલ હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

વિરાટ કોહલીએ નેટમાં ખૂબ પરસેવો પાડ્યો:વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝની પ્રથમ મેચ પહેલાં બંને ટીમોની સખત નેટ પ્રેક્ટિસ, વિરાટ કોહલીએ ગ્રાઉન્ડ પર આકરી પ્રેક્ટિસ કરી

ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની ત્રણ વનડે મેચોની સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચને લઈને ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ આજે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. બંને ટીમોએ લગભગ ત્રણ-ત્રણ કલાક સુધી પરસેવો પાડ્યો હતો, જેમાં ભારતીય ખેલાડીઓએ નેટમાં ખૂબ પરસેવો પાડ્યો હતો. આવતીકાલે પણ બંને ટીમો પ્રેક્ટિસ કરશે. આ પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ખૂબ જ ઉત્સાહિત અને ફોર્મમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં વિરાટે વિજય હજારે ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે નેટ્સમાં તેમણે આક્રમક શોટ્સની પ્રેક્ટિસ કરી હતી અને સખત મહેનત કરીને પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર અને હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ વોશિંગ્ટન સુંદર અને કુલદિપ યાદવ બોલર્સે પણ સખત પ્રયાસો કર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે પણ ત્રણ કલાકની પ્રેક્ટિસમાં કોઈ કસર છોડી નહોતી. કિવી ખેલાડીઓએ ભારતીય પીચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેટિંગ અને બોલિંગની તૈયારી કરી હતી. આ મેચ વડોદરા માટે ઐતિહાસિક છે, કારણ કે આ નવા કોટંબી સ્ટેડિયમમાં પુરુષોની આંતરરાષ્ટ્રીય વનડે મેચ પ્રથમ વખત રમાશે. સ્ટેડિયમની ક્ષમતા લગભગ 30 હજાર દર્શકોની છે, અને ટિકિટોનું વેચાણ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં રોહિત અને વિરાટ જેવા અનુભવી ખેલાડીઓની વાપસીથી ટીમ મજબૂત દેખાઈ રહી છે. મેચની શરૂઆત 11 જાન્યુઆરીએ બપોરે 1:30 વાગ્યે થશે અને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરવા રવાના થયા તે સમયે હોટલ હયાત પેલેસ બહાર મોટી સંખ્યામાં ચાહકોએ વિરાટ... વિરાટ... કોહલી... કોહલી...ના નારા લગાવ્યા હતા. કેટલાક ચાહકો વિરાટ અને રોહિતના પેઇન્ટિંગ લઈને તેમને આપવા માટે આવ્યા હતા. તો બીજી તરફ ટીમ ઇન્ડિયા ક્રિકેટરોને જોવા ફેન્સ ટેરેસ પર પણ ચડી ગયા હતા. લોકોએ ટીમ ઇન્ડિયાની એક ઝલક મેળવવા ભાગદોડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 12:14 am

ગાંધીનગરમાં આફત પર આફત:ટાઈફોઈડના કહેર વચ્ચે ‘કોંગો ફીવર’ની એન્ટ્રીથી તંત્ર ઊંધા માથે, પિંડારડામાં કોંગો ફીવરનો પ્રથમ કેસ નોંધાતા ફફડાટ

રાજ્યના પાટનગર ગાંધીનગરમા ‘હેલ્થ ઇમરજન્સી’ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ શહેરના સેક્ટરો દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના અજગરી ભરડામાં છે, ત્યાં બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સાક્ષાત યમદૂત સમાન ‘ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર’ એ એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. પિંડારડા ગામના 26 વર્ષીય પશુપાલક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ઊંધા માથે થયું છે. યુવાનને કેટલાક દિવસથી લોહીની ઉલ્ટી આવતા હોસ્પિટલમાં ખસેડાયાએક તરફ શહેરના સેક્ટરો દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના અજગરી ભરડામાં છે, ત્યાં બીજી તરફ જિલ્લામાં પ્રથમ કોંગો ફીવર પોઝિટિવનો કેસ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ,પિંડારડા ગામના પશુપાલન સાથે સંકળાયેલા યુવાનને કેટલાક દિવસથી લોહીની ઉલ્ટી-ઉબકા અને તીવ્ર તાવના લક્ષણો જણાતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ દરમિયાન યુવાનમાં શંકાસ્પદ કોંગો ફીવર ના લક્ષણો જણાઈ આવતા ચોથી જાન્યુઆરીએ સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં કોંગો ફીવરની પુષ્ટિ થતા જ જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ગામના 237 ઘરોમાં 1034 લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કર્યું છે. ગામમાં બે મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે​જ્યારે પશુપાલન વિભાગે ગામના 600 જેટલા પશુઓ પર દવાનો છંટકાવ કર્યો છે જેથી ઇતરડી દ્વારા ફેલાતા આ વાયરસને અટકાવી શકાય. નિષ્ણાતોના મતે કોંગો ફીવરમાં મૃત્યુદર 10થી 40% જેટલો હોવાથી આગામી 15 દિવસ પિંડારડા અને આસપાસના વિસ્તારો માટે નિર્ણાયક ગણાશે. જેના પગલે ગામમાં બે મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે જે સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. આ અંગે આરોગ્ય તંત્ર દ્વારા કહેવાયું છેકે, પશુપાલકોએ પશુઓના સંપર્ક સમયે પૂરા કપડાં અને હાથમોજાં પહેરવા. ​પશુઓ પર ઇતરડી જણાય તો તુરંત પશુચિકિત્સકની સલાહ લેવી. ​તીવ્ર તાવ કે શરીરમાં દુખાવો જણાય તો વિલંબ કર્યા વગર ડોક્ટરનો સંપર્ક કરવો. 30 ટકા દર્દીઓના મૃત્યુ બીમારીના બીજા અઠવાડિયે થાય છેઆ બીમારીનો પ્રથમ કેસ 1944માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો, પરંતુ 1956માં આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે, બોલચાલની ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી રહ્યો છે. WHOના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવા પર દર્દીઓને એન્ટિવાઈરલ ડ્રગ આપવામાં આવે છે. તેની સારવાર ઓરલ અને ઇન્ટ્રોવેનસ એમ બંને રીતે કરી શકાય છે. તેના 30 ટકા દર્દીઓના મૃત્યુ બીમારીના બીજા અઠવાડિયે થાય છે. દર્દી જો સ્વસ્થ થઇ રહ્યો હોય તો તેની અસર 9 અને 10મા દિવસે દેખાવા લાગે છે. બીજી તરફ જ્યારે ગ્રામ્ય વિસ્તાર કોંગોથી ફફડી રહ્યો છે, ત્યારે શહેરના સેક્ટર-24, 26, 28 અને આદિવાડામાં ટાઈફોઈડનો રોગચાળો વકર્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 14 નવા કેસ નોંધાતા કુલ આંકડો 167 પર પહોંચી ગયો છે. આમ આરોગ્ય તંત્ર માટે બકરું કાઢતા ઊંટ પેઠું જેવો ઘાટ ઘડાયો છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 12:05 am

ગુજરાત સરકારને માનવાધિકાર પંચે નોટિસ ફટકારી:ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસ અંગે મુખ્ય સચિવ પાસે રિપોર્ટ માગ્યો

ગાંધીનગરમાં દૂષિત પીવાના પાણીના કારણે ટાયફોઇડના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) દ્વારા ગુજરાત સરકારને નોટિસ ફટકારવામાં આવી છે અને પંચ દ્વારા મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ટાઈફોઈડના 70 એક્ટિવ કેસની પુષ્ટિગુજરાતના આરોગ્ય વિભાગે ટાઈફોઈડના કુલ 70 એક્ટિવ કેસની પુષ્ટિ કરી છે. ગાંધીનગરમાં નવી નાખવામાં આવેલી પાઈપ લાઈનમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. પાઈપ લાઈનમાં સાત જગ્યાએ લિકેજ હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. પંચે જણાવ્યું હતું કે, જો આ સમાચાર સાચા હોય તો તે પીડિતોના માનવાધિકારના ઉલ્લંઘનનો ગંભીર મામલો છે. બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશઆ સંદર્ભમાં પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે અને મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. જેમાં ટાયફોઈડથી પ્રભાવિત ઘરોમાં સારવાર લઈ રહેલા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે લેવામાં આવેલા પગલાં અંગે જાણકારી માગવામાં આવી છે. ટાઈફોઈડના વધુ 14 નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામગાંધીનગરમાં 8 જાન્યુઆરી ગુરુવારે ટાઈફોઈડના વધુ 14 નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સત્તાવાર રીતે ટાઈફોઈડના કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ વધુ ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, બીજી તરફ પાણી અને ગટર લાઇનના લિકેજ શોધવામાં તંત્રની નિષ્ફળતા સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 80 સારવાર હેઠળ અને 18 દર્દીઓને રજા અપાઈગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, સેક્ટર-24, 26, 28, આદિવાડા અને GIDC વિસ્તાર રોગચાળાના મુખ્ય કેન્દ્રો બન્યા છે. હાલ 80 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 18 દર્દીઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની 85 ટીમોએ અત્યાર સુધીમાં 61,389 ઘરો અને આશરે 2.66 લાખની વસ્તીમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. પાણીનું સુપર ક્લોરીનેશન કરવાની કવાયત પણ તેજ કરાઈ છે. 7 જાન્યુઆરી: ગાંધીનગરમાં ટાઈફોઈડ કેસના 111 બાળકો દાખલ, 55 બાળકોનો રિપોર્ટ ટાઈફોઈડ પોઝિટિવગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન દ્વારા સત્તાવાર 153 દર્દીઓ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, સિવિલ હોસ્પિટલના સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના લેટેસ્ટ રિપોર્ટ મુજબ હાલ હોસ્પિટલમાં 111 બાળકો દાખલ છે, જેમાંથી 55 બાળકોનો રિપોર્ટ ટાઈફોઈડ પોઝિટિવ આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5 જાન્યુઆરી: ટાઈફોઈડ કેસમાં એક બાળકનું શંકાસ્પદ મોત, બે ગંભીર; બેડ ખૂટી પડતા વધારાનો વોર્ડ શરૂગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડનો ભારે હાહાકાર મચ્યો છે, જેમાં એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું અને અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ, જેમાંથી 50 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. રોગચાળાની ગંભીરતા જોતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા સત્તાધીશોએ વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી. પીવાના પાણીમાં ગંદકી ભળવાને કારણે ફેલાયેલા આ જીવલેણ રોગચાળાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે અને આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 4 જાન્યુઆરી: પાણી શુદ્ધિકરણના 7 સ્ટેપ છતાં ટાઇફોઇડ વિસ્ફોટ કેમ થયો?, ભાસ્કર પહોંચ્યું ચરેડી વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટમાંગાંધીનગરના 14થી 30 સેક્ટરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ફાટી નીકળેલા પાણીજન્ય રોગચાળાએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી હતી. એક તરફ સિવિલ હોસ્પિટલમાં 104 બાળકો સઘન સારવાર હેઠળ, ત્યારે બીજી તરફ આ વિસ્તારોમાં પાણી સપ્લાય કરતા 'ચરેડી વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર'ની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠ્યા. દિવ્ય ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું કે, પ્લાન્ટમાં શુદ્ધિકરણની પ્રક્રિયા આધુનિક, પરંતુ પાણી વિતરણ લાઈનોમાં ગટરનું મિશ્રણ ‘કાળ’ બનીને નળ વાટે ઘરોમાં પહોંચી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4 જાન્યુઆરી: ગાંધીનગર 'ટાઈફોઈડ'ના ડેન્જર ઝોનમાં, 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશતગાંધીનગરમાં ઈન્દોરવાળી થતા બે દિવસમાં જ 119 જેટલા ટાઈફોઈડના કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી હતી. 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ 94 દર્દીઓ સારવાર હેઠળ હતા. જો કે, ટાઈફોઈડના ઈન્ક્યુબેશન પિરિયડને જોતા આગામી 20મી જાન્યુઆરી સુધીમાં કેસનો આંક 350ને પાર થવાની દહેશત સેવાઈ રહી છે. ગાંધીનગરના સેક્ટર 24, 26 અને 28ના વિસ્તારમાં અચાનક ટાઈફોઈડના કેસનો વિસ્ફોટ થતા તેના મૂળ સુધી પહોંચવા ભાસ્કરે સ્થાનિક કોર્પોરેટર સાથે વાતચીત કરી હતી. સ્થાનિક કોર્પોરેટરોએ ગટરના લીકેજની ફરિયાદો મળી હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે, દૂષિત પાણીની ફરિયાદ મળ્યાનો ઈન્કાર કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 12:05 am

પાણીના વિક્રેતાઓ સામે કાર્યવાહી થઈ શકે:પાણીના જગ વેચનારાઓએ પાણી ક્લોરિનથી શુદ્ધ કરીને જ વેચવું પડશે, AMC વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પણ ચેક કરીને સપ્લાય કરાશે

અમદાવાદ શહેરમાં પાણીનાં જગના સપ્લાયરોએ હવે તેઓએ પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન વગરનું કોઇ પાણી સપ્લાય થતું હશે તો કોર્પોરેશન દ્વારા તે માટેની કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા સંજોગોમાં તેમનાં એકમોને સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. પેકેજીંગ વોટરમાં આ નિયમ લાગુ પડશે નહીઅમદાવાદના તમામ 170 જગનાં સપ્લાયરોને એકત્રિત કરીને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મિટીંગ કરવામાં આવી હતી અને તેમને આ વિશે માહિતી આપી જાણ કરાઇ છે. આ ઉપરાંત તેમને પાણીનું ક્લોરિનેશન કેવી રીતે કરવું તેની પણ સમજ આપવામાં આવી છે. શહેરમાં કેટલીક એજન્સી છે જે આ પ્રકારની કામગીરી કરતાં હોય છે તે માટેની પણ આ વિક્રેતાઓને સમજ આપવામાં આવી છે. હવે, બે કે ત્રણ દિવસમાં પાણીનાં ક્લોરીનેશન ઇન્સ્ટોલ થાય તે માટે પાણીનાં વિક્રેતાઓને જાણ કરવામાં આવ્યું છે. આ નિયમ લુઝ સપ્લાય થતી પાણીની એક લિટરની બધી જ કંપનીઓને પણ લાગુ પડશે અને પેકેજીંગ વોટરમાં આ નિયમ લાગુ પડશે નહી. પાણીની અંદરનાં ટોક્સિનને વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન પર માપવામાં આવશેસ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોઇપણ પ્રકારનો રોગચાળો ફેલાય તે પહેલાં જ તેની આગોતરા સાવચેતી લેવામાં આવે તો રોગચાળામાં રાહત રહેતી હોય છે અને રોગચાળો આગળ વધતો અટકે છે. જેથી શહેરમાં આવેલાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો આવેલા છે અને જ્યાં પાણીનું વિતરણ થાય છે ત્યાં હાલમાં તેનાં પી.એચ અને ક્લોરીનેશનની તપાસ કરીને આગળ મોકલવામાં આવે છે. આવનારા સમયમાં કેટલાંક પેરામીટર્સ બદલવામાં આવશે, જેમાં ઇકોલાઇ બેક્ટેરિયા કે પાણીની અંદરનાં ટોક્સિનને વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન પર માપવામાં આવશે. જેને પરિણામે જો તેમનાં પાણીમાં કોઇ શંકા લાગે તો ત્યાં પાણીનાં વિતરણની તરત જ અટકાયત કરવામાં આવશે. જેથી કોઇપણ પ્રકારનો રોગચાળો આગળ વધે નહીં. સ્લમ વિસ્તારોમાં 300 કરોડના ખર્ચે વર્ષો જૂની પાણી અને ડ્રેનેજ લાઈનો બદલવાનો નિર્ણય લેવાયોઆ પ્રકારનાં આયોજનથી પાણીનાં વિતરણમાં ક્લોરીનનાં ડોઝિયર મૂકી ક્લોરિનનું ટેસ્ટ કરવામાં આવશે. ચાલી જેવાં વિસ્તારોમાં રોગચાળો ખૂબ ઝડપથી ફેલાતો હોય છે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું પ્રિકોશન લઇને એડવાન્સમાં ક્લોરિન ડોઝિયર મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં જયાં ચાલીઓ આવેલી છે ત્યાં પાણીજન્ય રોગો થતાં હોય છે. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધુ ન વકરે તે માટે અગમચેતીના ભાગરૂપે ચાલીઓ અને સ્લમ વિસ્તારોમાં 300 કરોડના ખર્ચે વર્ષો જૂની પાણી અને ડ્રેનેજ લાઈનો બદલવાનો નિર્ણય લેવાયો છે. પાણીનું ક્લોરીનેશન કર્યા બાદ પાણીના જગમાં પાણી ભરાય તે માટેનો નિર્ણય લેવામાં આવ્યોઆરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બી.સી પરમાર તેમજ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પાણીજન્ય કેસો અટકાવવા માટે મહત્તમ પાણીના સેમ્પલ લેવાઇ રહ્યાં છે. સ્લમ વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં મહત્તમ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે. આ સાથે સાથે ખાદ્ય પદાર્થનું ચેકિંગ અને જે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે તે તમામનું યોગ્ય ચેકિંગ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યાં પાણીનું સપ્લાય થતું હોય છે ત્યાં પાણીનું પ્યોરિફિકેશન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ તેની અંદર ક્લોરીન એડ કરવામાં આવે છે. આ પાણીનું ક્લોરીનેશન કર્યા બાદ પાણીના જગમાં પાણી ભરાય તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સ્ટોલ ઉપર ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતુંશહેરમાં પાણીજન્ય રોગચાળો રોકવા માટે આજે 8 જાન્યુઆરીના રોજ પ્રતિબંધક પગલાંના ભાગરૂપે શહેરભરના પાનીપુરી સ્ટોલમાંથી પાણી તથા બટેટા-ચણા માવાના નમૂનાઓ લેવાયા હતા. કુલ 757 નમૂનાઓ લેવાયેલા છે. આ નમૂનાઓની રાસાયણિક તથા બેક્ટેરિયોલોજીકલ ચકાસણી કરવામાં આવશે અને જેમના નમૂનાના પરિણામો ફેઈલ આવશે તેમના વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરવામાં આવશે તમામ સ્ટોલ ઉપર ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં નનામીનાં ઉપયોગમાં વાંસ કે લાકડાનાં ઉપયોગનાં બદલે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે જેના માટે સ્ટીલની નનામી રાખવામાં આવશે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પર્યાવરણ બાબતની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં નનામીમાં લાકડાનો ઉપયોગ થાય છે જેથી સ્ટીલનો ઉપયોગ કરવા સૂચના આપી હતી. લાકડું ઓછું કપાય અને પર્યાવરણનું જતન થાય, તેમજ સ્ટેનલેસ સ્ટીલની નનામી લાંબા સમય સુધી ટકી શકે એમ છે. આવનાર સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્મશાનમાં નનામીની નોંધણી થાય છે ત્યાં આવી સ્ટેનલેસ સ્ટીલની નનામી રાખવામાં આવશે, પરિણામે વાંસ અથવા લાકડાનો બચાવ થશે. જે પણ પાણીના વિક્રેતાઓ છે તેઓએ પાણીના ક્લોરીનેશનના રિપોર્ટ કરાવવા પડશે. જેના રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને ગ્રુપમાં મોકલવાના રહેશે. GPS સાથે ફોટો વગેરે માહિતી સાથે મોકલવાનું રહેશે. જો રિપોર્ટ નહીં મોકલે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. ઝોન મુજબ લેવાયેલા નમૂનાઓ:• સાઉથ ઝોન: 125• નોર્થ ઝોન: 121• સાઉથ-વેસ્ટ ઝોન: 115• સેન્ટ્રલ ઝોન: 108• નોર્થ-વેસ્ટ ઝોન: 101• ઇસ્ટ ઝોન: 97• વેસ્ટ ઝોન: 89

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 12:05 am

ગોધરાના શહેરા ભાગોળ અંડરપાસનું નિર્માણકાર્ય પુનઃ શરૂ:તકનીકી ખામી બાદ વેપારીઓને રાહત, કામ ઝડપથી પૂર્ણ થશે

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં અટકેલા અંડરપાસનું નિર્માણકાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે. તકનીકી કારણોસર લાંબા સમયથી અટકેલું આ કામ પુનઃ શરૂ થતાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ રાહત અનુભવી છે. શહેરમાં ચાલી રહેલા અનેક વિકાસકાર્યો પૈકી શહેરા ભાગોળ અને જાફરાબાદ ફાટક પરના અંડરપાસનો સમાવેશ થાય છે. શહેરા ભાગોળ અંડરપાસનું કામ તકનીકી ખામીઓને કારણે વારંવાર અટકી પડતું હતું. જેના કારણે આસપાસના રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને તેમણે અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી હતી. હવે અંડરપાસના ઇજારદાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવે વિભાગ સાથે સંકલન સાધીને કામની શરૂઆત કરવામાં આવી છે. બંને વિભાગોના સુચારુ સંકલનથી નિર્માણકાર્યને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. સ્થાનિક સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાનીની ઉપસ્થિતિમાં ઇજારદાર દ્વારા શ્રીફળ વધેરીને નિર્માણકાર્યનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે કામ ઝડપથી પૂર્ણ થશે, જેથી તેમના પડી ભાંગેલા વેપાર-ધંધા ફરી ગતિ પકડી શકશે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 11:11 pm

કેરી બેગના ₹13 શોરૂમને ₹1013માં પડ્યા:ગ્રાહક કોર્ટે વ્યાજ અને દંડ સાથે ચૂકવવા આદેશ કર્યો

પાટણના એક વકીલ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બાદ ગ્રાહક કોર્ટે એક શોરૂમને કેરી બેગ માટે વસૂલ કરાયેલા ₹13 વ્યાજ સાથે પરત ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, કોર્ટે માનસિક ત્રાસ અને ખર્ચ પેટે ₹1000 ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આમ, શોરૂમને ₹13ની કેરી બેગ ₹1013માં પડી છે. આ ઘટના 15 મે, 2024ના રોજ બની હતી. પાટણના વકીલ દર્શક ત્રિવેદી ચેન્નઈના 'લાઇફ સ્ટાઇલ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ' શોરૂમમાંથી ₹4,298નું કાપડ ખરીદવા ગયા હતા. શોરૂમમાં તેમનું લાઇફ સ્ટાઇલ કાર્ડ ન હોવાથી, કેશિયરે બિલ પ્રભુ એસ નામના અન્ય વ્યક્તિના નામે બનાવ્યું હતું. વકીલ ત્રિવેદીએ બીજાના નામે બિલ બનાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી કે ખરીદેલી વસ્તુઓ લઈ જવા માટે કેરી બેગ આપવી એ વિક્રેતાની જવાબદારી છે. મેનેજર સાથેની ચર્ચા બાદ તેમના નામે બિલ બનાવવામાં આવ્યું, પરંતુ કેરી બેગ માટે તેમના ડેબિટ કાર્ડમાંથી ₹13 કાપી લેવામાં આવ્યા. આ અંગે તેમણે પાટણ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. શોરૂમ સંચાલકોએ તેમના જવાબમાં જણાવ્યું હતું કે સરકારે પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી, તેઓ ગ્રાહકોને તેમની મરજીથી ચૂકવણીના ધોરણે પેપર બેગ આપે છે. તેમણે મફતમાં બેગ પૂરી પાડવાની તેમની કોઈ જવાબદારી ન હોવાનું પણ જણાવ્યું હતું. આ કેસની સુનાવણી મંગળવારે ગ્રાહક કોર્ટમાં થઈ હતી. કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરીએ અવલોકન કર્યું કે ગ્રાહકને ખરીદેલી વસ્તુઓ મૂકવા માટે બેગ આપવી એ શોરૂમની ફરજ છે. કોર્ટે શોરૂમને કેરી બેગના ₹13 નવ ટકાના સાદા વ્યાજ સાથે પરત ચૂકવવા અને અરજદારને થયેલા ખર્ચ તથા માનસિક ત્રાસ બદલ ₹1000 ચૂકવવાનો આદેશ કર્યો.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 11:03 pm

સુરતનું 'બ્લુ ડ્રગ્સ' કૌભાંડ:35 હજારનો પગારદાર કેમિસ્ટ રાતોરાત કરોડપતિ બનવા કંપનીમાંથી કેમિકલ ચોરતો, લેબ ભાડે આપનાર ઈશા અચાનક દિલ્હી રવાના

સુરતના હાઈ પ્રોફાઈલ એમડી ડ્રગ્સ કેસમાં એસ.ઓ.જી.ની તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. મુખ્ય આરોપી બ્રિજેશ ભાલોડીયા સચીનની એક નામાંકિત કેમિકલ કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. માત્ર 35 હજારના પગારમાં કામ કરતો બ્રિજેશ ડ્રગ્સ માફિયા બનવાના રવાડે ચઢ્યો હતો. તે પોતાની જ કંપનીમાંથી ડ્રગ્સ બનાવવા માટેના કિંમતી કેમિકલો અને ચોરી-છૂપીથી બહાર લાવતો હતો.એસ.ઓ.જી. હવે એ કંપનીમાં પણ તપાસ લંબાવશે કે આટલા મોટા પાયે કેમિકલની ચોરી થતી હોવા છતાં કંપનીના મેનેજમેન્ટને ગંધ કેમ ન આવી? PhD લેબ માલિક ઈશા અણઘડના 'દિલ્હી પ્રવાસ' પર સવાલોપરવટ પાટીયાના પોલારીસ શોપિંગ સેન્ટરમાં ચાલતી 'ડીક્રીયા ફૂડ એન્ડ ફાર્મા લેબોરેટરી' હવે તપાસના કેન્દ્રમાં છે. લેબની માલિક ઈશા અણઘણ, જે પોતે બાયોટેકનોલોજીમાં માસ્ટર્સ અને પીએચડી ધરાવે છે, તેણે લંડનના જનક જાગાણીના કહેવાથી માત્ર ૧૨ હજાર રૂપિયામાં લેબનો હિસ્સો બ્રિજેશને ભાડે આપ્યો હતો. એસ.ઓ.જી. પૂછપરછ માટે બોલાવે તે પહેલા જ ઈશા દિલ્હી 'કામ અર્થે' રવાના થઈ ગઈ છે. સવાલ એ છે કે, જે મહિલા પાસે કેમિકલનું આટલું ઊંડું જ્ઞાન હોય, તેની નજર સામે ટેબલ પર ડ્રગ્સ બનતું હોય છતાં તે અજાણ કેવી રીતે હોઈ શકે? લંડનથી ઓપરેટ થતું ડ્રગ્સ નેટવર્કઆ ડ્રગ્સ રેકેટનો અસલી માસ્ટરમાઇન્ડ અમરોલીના છાપરાભાઠાનો જનક વિઠ્ઠલ જાગાણી છે. હીરાના કારખાનામાં મજૂરી કરતા પિતાનો દીકરો જનક દોઢ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો અને ત્યાંથી સુરતમાં ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક હેન્ડલ કરવા લાગ્યો. જનક સામે હવે લૂક આઉટ નોટિસ જારી કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, બ્રિજેશ ભાલોડીયા માત્ર 5 દિવસમાં કેમિકલોની પ્રોસેસ કરી 1 કિલો શુદ્ધ એમડી ડ્રગ્સ તૈયાર કરી લેતો હતો. આ કેસમાં પકડાયેલા ત્રણેય પેડલરો હાલ રિમાન્ડ પર છે અને મોટા માથાઓના નામ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:51 pm

રહીશોએ થાળી-વેલણ વગાડી સરકારને જગાડી:મહેસાણામાં ગાંધીનગર લિંક રોડ પર પીવાના પાણીના સ્ત્રોત પાસે ગટરના સમ્પના નિર્માણનો ઉગ્ર વિરોધ

મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર નવરંગ ચોક વિસ્તારમાં પીવાના પાણીની શુદ્ધતા અને જાહેર આરોગ્યના મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મ્યુનિસિપાલિટી દ્વારા પીવાના પાણીના મુખ્ય પ્લાન્ટની બિલકુલ નજીક ગટર ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સમ્પ) બનાવવાની કામગીરી શરૂ કરાતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલોએ રસ્તા પર ઉતરી, થાળી-વેલણ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.તાજેતરમાં ઇન્દોર અને ગાંધીનગર જેવી જગ્યાએ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાથી સર્જાયેલી હોનારત અને જાનહાનિની ઘટનાઓથી બોધપાઠ લઈ મહેસાણાના રહીશો સતર્ક થયા છે. પ્લાન્ટને કાયમી ધોરણે અન્યત્ર ખસેડવાની માંગ પર અડગસ્થાનિકોનો તર્ક છે કે ડ્રેનેજ પ્લાન્ટ અને પાણીનો સ્ત્રોત આટલા નજીક હોવા તે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. લોકરોષને જોતા હાલમાં તંત્ર દ્વારા કામગીરી કામચલાઉ ધોરણે અટકાવવામાં આવી છે, પરંતુ રહીશો આ પ્લાન્ટને કાયમી ધોરણે અન્યત્ર ખસેડવાની માંગ પર અડગ છે. ભવિષ્યમાં જો આ સ્ટ્રક્ચરમાં તિરાડ પડે કે લીકેજ થાય તો ગંદુ પાણી સીધું ટ્યુબવેલમાં ઉતરી જશે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર અને સ્થાનિક રહીશ પી. આઈ. પટેલે આ મામલે ટેકનિકલ પાસાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, અહીં 50 લાખ લિટરનો પીવાના પાણીનો સમ્પ અને બે ટ્યુબવેલ આવેલા છે. તેની બિલકુલ નજીક 11 મીટર ઊંડું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં જો આ સ્ટ્રક્ચરમાં તિરાડ પડે કે લીકેજ થાય તો ગંદુ પાણી સીધું ટ્યુબવેલમાં ઉતરી જશે અને હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થશે. પમ્પિંગ સ્ટેશન જરૂરી છે, પણ તેનું અંતર જાળવવું અનિવાર્ય છે. લડત માત્ર વર્તમાનની નહીં, પણ આવનારી પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનીઅન્ય રહીશ બકુલ ભાઈ એ કહ્યું કે, અમે કામના વિરોધી નથી, પણ સ્થળના વિરોધી છીએ. જો પીવાના પાણીની બાજુમાં જ ગંદા પાણીનો સંગ્રહ થશે તો ભવિષ્યમાં વિકટ પરિસ્થિતિ સર્જાશે. આજે પ્રતિકાત્મક રીતે થાળી-વેલણ વગાડી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ પ્લાન્ટ રદ કરવાનો કે ખસેડવાનો લેખિત નિર્ણય લેવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ લડત માત્ર વર્તમાનની નહીં, પણ આવનારી પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાની છે તેવું રહીશોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:36 pm

મહીસાગર LCBએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે 2 ઝડપ્યા:કડાણાના માલવણ ગામેથી ₹16,100નો મુદ્દામાલ જપ્ત

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ ગામેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. LCB ટીમે તેમની પાસેથી ₹16,100 ની કિંમતની 20 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના ઉત્તરાયણ/જાહેરનામા (તારીખ 22/12/2025) અન્વયે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના હેરાફેરી અને વેચાણ કરતા ઈસમો પર નજર રાખી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, મહીસાગર LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. LCB સ્ટાફને બાતમી મળી હતી કે માલવણ ગામે બે ઈસમો દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે, LCB ટીમે દરોડો પાડીને સલમાન ઇમરાનભાઇ લતીફભાઇ ઘાંચી અને હિતેશ મહેશભાઇ ખાંટ (બંને રહે. માલવણ, તા. કડાણા, જિ. મહીસાગર) ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કડાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:35 pm

કવાંટમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલની સ્પષ્ટતા:છોટાઉદેપુર જિલ્લામાં કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો નથી અને કોઈનું વિસ્થાપન થશે નહીં

છોટાઉદેપુરના કવાંટ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો નથી અને કોઈનું વિસ્થાપન થશે નહીં. આ સમારંભમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ ઉપરાંત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા નામ લીધા વગર ચૈતર વસાવા પર આડકતરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો દ્વારા અહીંયા ગુમરાહ કરવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. પટેલે જણાવ્યું કે, એવી ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી હતી કે અહીંયા ખૂબ મોટો હાઇડ્રો પ્રોજેક્ટ કે GMDC પ્રોજેક્ટ આવશે, જેના કારણે મોટી સંખ્યામાં ગામડાઓ વિસ્થાપિત થશે. તેમણે સરકારના મંત્રી તરીકે ખાતરી આપી કે આવો કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ બનવાનો નથી અને એક પણ વ્યક્તિને વિસ્થાપિત કરવામાં આવશે નહીં. તેમણે ગુમરાહ કરનારા લોકોથી ચેતવા પણ અપીલ કરી હતી. મીડિયાના સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે ભાજપ કોઈનાથી ડરતી નથી અને કોઈપણ ચૂંટણી માટે કાર્યકરોના સહયોગથી હંમેશા તૈયાર હોય છે. તેમણે ઉમેર્યું કે, જે લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કરશે, તેમને ભાજપના નેતાઓ લોકો વચ્ચે આવીને જવાબ આપશે. હાઇડ્રો પ્રોજેક્ટ અંગે વધુ સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, વાસ્તવમાં કોઈ પ્રોજેક્ટ જ ન હોવાથી તેને રદ કરવાનો સવાલ જ નથી. તેમણે છોટાઉદેપુરની જનતાને આવા ભ્રામક પ્રચારોમાં ન આવવા અને કોઈ પ્રોજેક્ટ ન થવાનો હોવાની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:33 pm

કામરેજની પેઢીનું કોટનસીડ ઓઈલ ટેસ્ટિંગમાં ફેઈલ:કચરામાંથી સોનું શોધતી એજન્સીને 2.50 કરોડનો દંડ, 16 કરોડના પેમેન્ટ પર 'બ્રેક'

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કામરેજના લસકાણા સ્થિત 'ન્યુ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ'નું કોટનસીડ ઓઈલ પરીક્ષણમાં નિષ્ફળ ગયું છે. લેબોરેટરી રિપોર્ટમાં બી.આર. રીડીંગ ધારાધોરણ કરતા વધુ આવતા આ તેલને 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર કરાયું છે. નિષ્ણાતોના મતે, તેલની શુદ્ધતા માપતા આ રીડીંગમાં વધારો સૂચવે છે કે તેમાં અન્ય સસ્તા તેલની ભેળસેળ કરવામાં આવી છે, જે ગ્રાહકોના પાચનતંત્ર, હૃદય અને કિડની જેવા મહત્વના અંગો પર ગંભીર નકારાત્મક અસરો કરી શકે છે. પાલિકાની ધીમી તપાસ અને લેબ રિપોર્ટમાં વિલંબઆરોગ્ય વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે, કારણ કે નવેમ્બર મહિનામાં લેવાયેલા ખાદ્ય તેલના નમૂનાનો રિપોર્ટ છેક જાન્યુઆરીમાં આવ્યો છે. પબ્લિક ફૂડ લેબમાં સ્ટાફની અછત અને ફૂડ એનાલિસ્ટ રજા પર હોવાને કારણે તપાસમાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે. આવી જ રીતે લસકાણા ગામના એક તબેલામાંથી ઝડપાયેલા નકલી ઘીના કેસમાં પણ ચાર દિવસ બાદ પણ રિપોર્ટ ન આવતા પોલીસ કાર્યવાહી અટકી પડી છે. આ ઢીલી નીતિને કારણે ભેળસેળ કરનારા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું હોય તેવું જણાય છે. ખજોદ કચરા કૌભાંડમાં દંડ અને અધિકારીઓની મિલીભગતબીજી તરફ, સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર મોટું 'કચરા કૌભાંડ' સામે આવ્યું છે, જેમાં સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સી પ્રોસેસ કર્યા વિનાનો કચરો બારોબાર મહુવાના આંબલિયા ગામે વેચી દેતી હતી. આ મામલે પાલિકાએ એજન્સીને 2.50 કરોડનો દંડ ફટકારી ૧૬ કરોડના પેમેન્ટ પર બ્રેક લગાવી છે. આશ્ચર્યની વાત એ છે કે કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતાં આ વિવાદાસ્પદ એજન્સી પાસે જ કામ ચાલુ રખાયું હતું, જે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. આ કૌભાંડમાં પર્યાવરણને થયેલા નુકસાન સામે માત્ર દંડ વસૂલવાની કાર્યવાહીને લીધે વિવાદ સર્જાયો છે. ઘણા લોકોનું માનવું છે કે માત્ર નજીવો દંડ કરી જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં એન્વાયરમેન્ટ ઇજનેર શરદ કાકલોતર સામે શો-કોઝ નોટિસની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ પ્રજાના ટેક્સના નાણાંનો જે રીતે દુરુપયોગ થયો છે તેને લઈને પાલિકા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:30 pm

છોટાઉદેપુરમાં પ્રથમવાર 'સાડી દોડ' યોજાઈ:મહિલા શક્તિનો ઉમંગ જોવા મળ્યો

છોટાઉદેપુરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર 'સાડી દોડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પરંપરાગત સાડી પહેરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મહિલા શક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો. મહિલાઓના સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ દોડ યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે લીલી ઝંડી આપીને આ અનોખી દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાડી દોડ પેટ્રોલ પંપ ચાર રસ્તાથી શરૂ થઈ ઝંડા ચોક સુધી ૧ કિલોમીટર લાંબી હતી. જેમાં સીનિયર સિટીઝનથી લઈને યુવતીઓ સહિત સમગ્ર જિલ્લાની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડ આગામી ૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર 'છોટાઉદેપુર મેરેથોન'ના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે મેરેથોનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા અને રોજિંદા જીવનમાં કસરતનું મહત્વ સમજાવવાનો હતો. દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ મહિલા દોડવીરોનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સહભાગી મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:29 pm

ગુજરાત હાઈકોર્ટે બે આરોપીના જામીન મંજૂર કર્યા:40થી વધુ ભારતીયોને ઊંચા પગારની લાલચ આપી થાઇલેન્ડથી મ્યાનમાર મોકલ્યા, ગન પોઈન્ટ ઉપર સાયબર સ્લેવ બનાવ્યા

ગુજરાત હાઇકોર્ટમાં આકિબ બને દાનિશ નામના બે વ્યક્તિઓએ જામીન અરજી દાખલ કરી હતી. જેમની સામે સુરતના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. બંનેની જામીન અરજીઓ સુરતની કોર્ટે ફગાવી દેતા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. મ્યાનમારમાં ગેરકાનૂની રીતે ઘુસાડવાના રેકેટમાં સંડોવાયેલાકેસને વિગતે જોતા આરોપીઓ તરફે દલીલ કરવામાં આવી હતી કે, તેઓ મુખ્ય આરોપી નથી. તેઓ કેટલાક મહિનાથી જેલમાં છે. આ કેસ ડોક્યુમેન્ટલ પુરાવા આધારિત છે. બંને યુવાન છે, તેમની ઉપર કોઈ પૂર્વ ગુના નોંધાયેલા નથી. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓ યુવાનોને થાઈલેન્ડ થઈને મ્યાનમારમાં ગેરકાનૂની રીતે ઘુસાડવાના રેકેટમાં સંડોવાયેલા છે. આ કેસમાં તેઓની સીધી સંડોવણી છે. આરોપીઓએ 40થી વધુ લોકોને થાઈલેન્ડ મોકલ્યાઆ કેસમાં અન્ય સહ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. તેથી આરોપીને જામીન મળતા તેઓ એની આરોપીઓની મદદ કરી શકે તેમ છે. આરોપીઓએ 40થી વધુ લોકોને થાઈલેન્ડ મોકલી ત્યાંથી ગેરકાનૂની રીતે મ્યાનમાર મોકલ્યા હતા. 70થી 75 હજારના ઊંચા પગારની લાલચ આપીને દેશના યુવાનોને મ્યાનમારમાં સાઇબર ક્રાઇમમાં ધકેલી દેવાનું આ આંતરરાષ્ટ્રીય રેકેટ છે. પીડિતો પાસેથી 3થી 4 લાખ રૂપિયા પડાવતામ્યાનમારમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ખોટા ID બનાવી, ખોટા નામ બતાવી ઉપર તેમની પાસેથી સાયબર ફ્રોડ કરાવાય છે. જો કોઈ તેમ કરવાના ઇન્કાર કરે તો તેમને મારવામાં આવે છે અને ઘરે પરત ફરવા ફરવાના 3થી 4 લાખ રૂપિયા પડાવવામાં આવે છે. આરોપીઓ બેરોજગાર યુવાનોને ઊંચા પગારની લાલચ આપી જોબ ઇન્ટરવ્યૂ ગોઠવતા હતા અને અન્ય આઇપીઓ પાસેથી કમિશન મેળવતા હતા. એક ચાઈનીઝ એજન્ટ પણ આ બધા હેન્ડલિંગમાં સંકળાયેલ છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:23 pm

એરપોર્ટ CISF જવાનની પુત્રીનો આપઘાત:બીમારીથી કંટાળીને જ પગલું ભર્યું હોવાની આશંકા, ડિપ્રેશનથી પીડાતી હતી

સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ પર ફરજ બજાવતા CISF જવાનની યુવાન પુત્રીએ માનસિક તણાવમાં આવી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બીજી તરફ સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્રોડ નેટવર્કમાં સંડોવાયેલી મહિલા આરોપી શ્રદ્ધા ગજભીયેના વધુ 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. 24 વર્ષીય દીકરીએ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંસુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અને સુરત એરપોર્ટ પર ASI તરીકે ફરજ બજાવતા મૂળ ભોપાલના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની 24 વર્ષીય પુત્રી, જે બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી, તેણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બની ત્યારે પરિવારના સભ્યો ઘરમાં જ હાજર હતા, છતાં પુત્રીએ અચાનક આ આત્યંતિક પગલું ભરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવતી છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવ અને ડિપ્રેશનની બીમારીથી પીડાતી હતી. આ બીમારીથી કંટાળીને જ તેણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. હાલ ઉમરા પોલીસ દ્વારા સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરિવારના સભ્યોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. કોર્ટે વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાક્રાઈમ સેલમાંથી મળતી વિગત મુજબ, કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં પકડાયેલી શ્રદ્ધા ગજભીયેને કોર્ટે વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, શ્રદ્ધા જાન્યુઆરી 2025માં થાઈલેન્ડ અને કંબોડિયા ગઈ હતી, જ્યાં તેણે આંતરરાષ્ટ્રીય ઠગ નેટવર્ક સાથે મળીને ભારતીય સિમ કાર્ડ દ્વારા વોટ્સએપ કોલ અને ઇન્ટરનેટ રિચાર્જની મદદથી છેતરપિંડી આચરી હતી. આ નેટવર્કે સુરતના એક એન્જિનિયર પાસેથી જ અંદાજે 69,76,800 પડાવી લીધા હતા. પોલીસ તપાસ હવે શ્રદ્ધા અને તેના ભાઈ નીલકાંતની બે ફિનટેક કંપનીઓ, એસેસ ફિનટેક અને ટેરા ફિનટેક તરફ વળી છે. આ બંને ભાઈ-બહેન આ કંપનીઓમાં ડાયરેક્ટર છે, જે નાના લોન આપવાનું કામ કરતી હતી. પોલીસને શંકા છે કે આ કંપનીઓના બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા જ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. શ્રદ્ધા આ છેતરપિંડીના નાણાં ભાઈના ખાતામાં જમા કરાવતી અને પોતાનું કમિશન લેતી હતી. આ આંતરરાષ્ટ્રીય ગેંગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, ચીન અને જર્મની જેવા દેશોના લોકોને પણ નિશાન બનાવતી હતી. સાયબર સેલ હવે રિમાન્ડ દરમિયાન બંને ફિનટેક કંપનીઓના નાણાકીય વ્યવહારો, લોન અરજીઓ અને આંતરરાષ્ટ્રીય કડીઓની તપાસ કરશે. આ તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે, જે સાયબર ક્રાઈમના નેટવર્કને તોડવામાં મદદરૂપ સાબિત થશે.સોશિયલ મીડિયા પર ખીલેલો પ્રેમ અને યુરોપના એરપોર્ટ પર પત્નીનો દગોસુરતના એક યુવાનને સોશિયલ મીડિયા મારફતે બેલ્જિયમની યુવતી સાથે પ્રેમ થયો હતો, જે બાદ બંનેએ લગ્ન કરી સુરતમાં જ પોતાનો સંસાર શરૂ કર્યો હતો. લગ્ન બાદ આ દંપતીને એક પુત્રી પણ થઈ હતી, પરંતુ પત્નીના મનમાં કઈક અલગ જ યોજના ચાલી રહી હતી. તેણે પતિની જાણ બહાર પુત્રીનો બેલ્જિયમનો પાસપોર્ટ કઢાવી લીધો હતો અને જ્યારે આ વાત પકડાઈ ત્યારે માફી માંગીને પતિનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ પત્નીએ પોતાની માતાની બીમારીનું બહાનું કાઢી પતિને યુરોપની ટ્રીપ પર લઈ ગઈ હતી. જ્યાં પ્રવાસના અંતે એરપોર્ટ પર જ પત્નીએ પોતાનું અસલી રૂપ બતાવતા પતિને ચોખ્ખું કહી દીધું હતું કે, હું અને દીકરી હવે તારી સાથે ભારત નહીં આવીએ, તું એકલો જા. આમ, ટુરિસ્ટ વિઝા પર ગયેલા પતિને પત્ની અને દીકરી વિના લાચાર બની ભારત પરત ફરવું પડ્યું હતું. ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધીની લડત અને ફેમિલી કોર્ટમાં કાયદેસરની કાર્યવાહીપોતાની માસૂમ દીકરી અને પત્નીને વિદેશમાં છોડી પરત આવેલા પતિએ આ વિશ્વાસઘાત સામે ન્યાય મેળવવા માટે કાયદેસરની લડત શરૂ કરી હતી. એડવોકેટ ટીના શર્મા મારફતે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં હેબિયસ કોપર્સની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હવે સુરતની ફેમિલી કોર્ટમાં બાળકીના કબજા માટેની અરજી સ્વીકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પત્નીએ પ્લાનિંગ મુજબ પ્રવાસ પહેલા જ પોતાના તમામ બેંક ખાતા બેલ્જિયમ ટ્રાન્સફર કરી દીધા હતા અને એરપોર્ટ પર પતિ પર હુમલો કરી સ્થાનિક પોલીસ ફરિયાદ પણ કરી હતી જેથી તે પરત ન આવી શકે. હાલ આ મામલે કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે અને પિતા પોતાની દીકરીને પરત મેળવવા માટે પ્રયત્નશીલ છે. ડીંડોલીમાં બેન્કે સીલ મારેલા ફ્લેટનું તાળું તોડી દંપતી ફરી રહેવા પહોંચ્યુંસુરતના ડીંડોલી વિસ્તારમાં લોન પેટે જપ્ત કરાયેલી મિલકત પર ગેરકાયદેસર કબ્જો જમાવવાનો કિસ્સો સામે આવ્યો છે. એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક પાસેથી 2018માં સંજય બોરસે અને હીરાબેન બોરસેએ 5.80 લાખની બિઝનેસ લોન લીધી હતી, જેની ચુકવણી ન કરતા કોર્ટના આદેશથી ઓક્ટોબર 2024માં તેમના ફ્લેટને સીલ કરવામાં આવ્યો હતો. જોકે, જુલાઈ 2025માં બેન્કના અધિકારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ દંપતી બેન્કનું સીલ અને તાળાં તોડીને ફરીથી ત્યાં રહેવા માંડ્યું હતું. અધિકારીઓએ પૂછપરછ કરતા દંપતીએ ઉદ્ધત વર્તન કરી લોન ભરવાની કે કબ્જો છોડવાની ના પાડી દીધી હતી, જેના પગલે ડીંડોલી પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બેન્કની હરાજી નિષ્ફળ ગયા બાદ લોનધારકોએ કાયદાનો અનાદર કર્યોઆ ઘટનામાં બેન્કે મિલકતનો કબ્જો લીધા બાદ બે વખત તેની હરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ગ્રાહક ન મળતા મિલકત ખાલી પડી હતી. આ તકનો લાભ ઉઠાવીને મૂળ માલિકોએ કાયદેસરની સીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. બેન્કના રીજનલ કલેક્શન મેનેજર સતીષભાઈ પટેલની ફરિયાદ મુજબ, દંપતીએ ૨૦૨૨થી હપ્તા ભરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું અને વારંવારની નોટિસની પણ અવગણના કરી હતી. હાલ પોલીસે બેન્કની મિલકતમાં તોડફોડ કરવા અને ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં 1.85 લાખની પ્રતિબંધિત ઇ-સિગારેટ સાથે BAનો વિદ્યાર્થી ઝડપાયોસુરત પોલીસના 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન હેઠળ SOGની ટીમે સિંગણપોર-ડભોલી વિસ્તારમાંથી તેજસ બલદાણીયા નામના 20 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરી છે. ધારુકા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો તેજસ 45 નંગ મોંઘી વિદેશી કંપનીઓની પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચવા માટે ઉભો હતો, જેની કિંમત અંદાજે 1.85 લાખ રૂપિયા થાય છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તે દરેક સિગારેટ પર 500થી 1000 રૂપિયા કમિશન મેળવતો હતો. અગાઉ પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હોવા છતાં નફાની લાલચે તેણે આ કામ ચાલુ રાખ્યું હતું. પોલીસે આ જથ્થો પૂરો પાડનાર જનતા માર્કેટના શફી નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:22 pm

આણંદના GLDC અધિકારી ધીરુભાઈ શર્મા પર મની લોન્ડરિંગનો આરોપ:EDએ ₹4.92 કરોડની મિલકતો જપ્ત કરી, સુપરવાઇઝર પાસેથી આવક કરતાં 354 ટકા વધુ સંપતિ હતી

અમદાવાદ ઝોનલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદમાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ બાબાભાઈ શર્મા વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં તેમની અપ્રમાણસર મિલકતોમાંથી ₹4.92 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ જપ્તીમાં વ્યાવસાયિક દુકાનો, રહેણાંક મકાનો, કૃષિ જમીન અને નડિયાદમાં આવેલા જલાશય રિસોર્ટ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે, જેમાંથી રિસોર્ટની સ્થાપના અને વિકાસ માટે પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવેલી સુરક્ષિત-અસુરક્ષિત લોનો, બેંકમાં રોકડ જમા અને ટ્રાન્સફરની પેટર્નને EDએ ક્લાસિક મની લોન્ડરિંગ તકનીક તરીકે ઓળખી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ધીરુભાઈની આવક કરતાં 354.56 ટકા વધુ સંપત્તિ 2006થી 2018ના ગાળામાં બનાવવામાં આવી હતી, જેમાં પરિવારના નામે લીધેલી લોનોની ચુકવણી મોટી રોકડ જમા દ્વારા કરવામાં આવી અને તેને પાછળથી લોન ચુકવણી તરીકે ટ્રાન્સફર કરવામાં આવી હતી, જ્યારે આગળની તપાસ ચાલુ છે. સુપરવાઈઝર પાસે આવક કરતાં 354.56 ટકા વધુ સંપત્તિ હતીએનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED અમદાવાદ ઝોનલ દ્વારા ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદમાં ફીલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબાભાઈ શર્માની અપ્રમાણસર મિલકતોની તપાસ કરીને ₹4.92 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેમાં વ્યાવસાયિક દુકાન, ઘર, કૃષિ જમીન અને નડિયાદ સ્થિત જલાશય રિસોર્ટ સહિતની મિલકતો સમાવેશ થાય છે. ધીરૂભાઇ શર્મા વિરૂદ્ધ અગાઉ એસીબીમાં પણ ફરિયાદ થઇ હતી. ગુજરાત લેન્ડ ડેલવરમેન્ટ કોર્પોરેશનના ફિલ્ડ સુપરવાઇઝર ધીરૂભાઇ શર્મા વિરૂધ્ધ આણંદ એ.સી.બી.માં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમની પાસે 8.04 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો હતી. તેમની આવક 1-4-2006 થી 31-3-2018 દરમિયાનના તેમના આવક કરતાં 354.56 ટકા વધુ સંપત્તિ હતી. આ પેટર્ન એક ક્લાસિક મની લોન્ડરિંગની તકનીક સૂચવે છેઇ.ડી. ની તપાસમાં જાણવા મળ્યા મુજબ ધીરુભાઇ બાબાભાઇ શર્માએ પરિવારના સભ્યો તથા મેસર્સ જલાશ્રય રિસોર્ટ પ્રા.લિ.એ સામૂહિક રીતે સુરક્ષિત/અસુરક્ષિત લોન લીધી હતી. ઈડીની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, તેમના દ્રારા લેવામાં આવેલી લોનની ચુકવણી મુખ્યત્વે વિવિધ બેંક ખાતાઓમાં રોકડ જમા દ્વારા કરવામાં આવી હતી. બેંકિંગ ચેનલોનો ઉપયોગ કરવાને બદલે, તેમના ખાતાઓમાં મોટી માત્રામાં રોકડ જમા કરવામાં આવી હતી, જે પછી તુરત જ લોન ચુકવણી તરીકે કૃષ્ણા ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પેટર્ન એક ક્લાસિક મની લોન્ડરિંગની તકનીક સૂચવે છે, જ્યાં ગેરકાયદેસર ભંડોળ પહેલા બેંકિંગ સિસ્ટમમાં દાખલ કરવામાં આવ્યું હતું. રોકડ જમા દ્વારા અને પછી નાણાકીય જવાબદારીઓ પતાવટ કરવા માટે ઉપયોગમાં લેવાયું હતું, જેનાથી તેમના મૂળને છુપાવવામાં આવ્યું હતું. EDએ સંપતિ અંગે વધુ તપાસ હાથ ધરી છેમેસર્સ જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના 1-2-2012ના રોજ ધીરુભાઈ શર્માના પુત્ર અને પત્ની દ્વારા 2007માં રૂ. 5.40 લાખમાં ખરીદેલી 52 ગુંઠા જમીન પર કરવામાં આવી હતી. રિસોર્ટને શરૂઆતમાં રૂ. 5.50 કરોડની સુરક્ષિત લોન મળી હતી અને બાદમાં 2018 માં રૂ. 7. 85 કરોડની લોન સાથે તેના ભંડોળમાં વધારો કર્યો હતો. ધીરુભાઈ શર્મા અને તેમના પરિવારે વર્ષ 2015-2020 દરમિયાન રિસોર્ટના વિકાસ માટે અસુરક્ષિત લોનના રૂપમાં રૂ. 1.19 કરોડ પણ મેળવ્યા હતા. રિસોર્ટના વિકાસ માટે ધીરુભાઈ શર્માની પુત્રવધૂનો 50 % હિસ્સો ધરાવતી મેસર્સ પ્રેયા સર્વિસીસ પાસેથી મળેલા ભંડોળ સહિત વિવિધ સ્ત્ર્રોતોમાંથી લોન, બેંક ખાતાઓમાં રોકડ જમા અને ટ્રાન્સફરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં ધીરુભાઈ શર્મા પાસે પોતાના અને પરિવારના સભ્યોના નામે LIC અને મેક્સ લાઈફ્ ઈન્સ્યોરન્સ પોલિસી છે અને તેમણે પ્રીમિયમની ચુકવણી રોકડમાં કરી હતી અને પાકતી મુદત પછી આ પોલિસીની રકમ તેમના વ્યક્તિગત બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 10:15 pm

વડોદરામાં બે યુવકોએ સગીરાને પીંખી નાંખી:એક રૂમમાં 3 કલાક ગોંધી રાખીને વારાફરથી બંનેએ દુષ્કર્મ ગુજાર્યું, બંને ઝડપાયા, પિતાએ કહ્યું: મારી દીકરી સાથે થયું એ બીજી કોઈ દિકરી સાથે ન થાય

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને એક રૂમમાં લઇને જઇને બળજબરીપૂર્વક બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જેની સગીરાના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દ્વારા પોલીસ દ્વારા બંને શખ્સની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પીડીત સગીરાનું મેડિકલ કરાવવા માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સગીરા તથા યુવતીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય તેવા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે નવરાત્રી દરમિયાન ભાયલી વિસ્તારમાં તેના મિત્ર સાથે બેઠેલી સગીરા પરપ્રાંતિયો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેને વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યાં હતા. ત્યારબાદ વધુ એકવાર વડોદરામાં ગેંગરેપની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકે દ્વારા તેમના વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને એક રૂમમાં લઇ ગયાં હતા અને સગીરા પર વારાફરતી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ત્રણ કલાક સુધી સગીરા પર વારંવાર બે યુવક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્રણ કલાક બાદ સગીરા ઘરે આવી હતી. ત્યારે તેના પિતાએ પૂછપરછ કરતા તેની સાથે બે જેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હોવાની જણાવ્યું હતું. પોલીસે બંન્ને ઝડપી પાડ્યા છે. સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષની દીકરી ઘરેથી નીકળી હતી ત્યારે બે યુવકો દ્વારા તેને એક રૂમમાં લઇ જઇને તેના સાથે સામહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્રણ કલાક સુધી સગીરાને બે યુવકો સગીરાના પીખતા રહ્યાં હતા. ત્યારબાદ સગીરા ગભરાઇને બહાર આવી ઘરે પહોચી હતી. જેથી અમે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મારી દીકરી સાથે થયું એ બીજી કોઈ દિકરી સાથે ન થાય એવો દાખલો બેસાડવો જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. ફતેગંજ પોલીસ દ્વારા બે આરોપી પૈકીને એકને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ફરાર હોય તેની શોધખોળ શરૂ કરાઇ છે. ફતેગંજ પોલીસ દ્વારા ભોગ બનનાર 14 વર્ષની સગીરાને મેડિકલ કરાવવા માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સામાજિક કાર્યકરો પણ પરિવાર સાથે પોલીસ સ્ટેશનમાં પહેંચ્યા હતાં. જ્યાં તેઓએ આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી અને પરિવારને ન્યાય આપવાની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 9:51 pm

મોરબી જિલ્લામાં ત્રણ યુવાનોના મોત:ઝેરી દવા, અકસ્માત અને અજાણી લાશ: પોલીસે તપાસ શરૂ કરી

મોરબી જિલ્લામાં જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ યુવાનોના મોત થયા છે. માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે એક યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. મકનસર ગામ પાસે વાહન અકસ્માતમાં અન્ય એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટંકારાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે એક યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે ત્રણેય બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે પરપ્રાંતિય યુવકે ઝેરી દવા પીધીપ્રથમ બનાવમાં, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે પ્રભાતભાઈ આહીરની વાડીએ મજૂરી કરતો નરસીભાઈ ભેરુભાઇ વસુનિયા (ઉં.વ. 38) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો. તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે માળીયા તાલુકા પોલીસે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મકનસર ગામ પાસે અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોતબીજા બનાવમાં, મોરબીના મકનસર ગામ પાસે એપેક્ષ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો હરિકૃષ્ણ પ્રમોદ ઘેના (ઉં.વ. 32) નામનો યુવાન ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં મકનસર ગામ નજીક વાહન અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. વાંકાનેરના ભીમગુડા ગામનો યુવાન ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે મૃત હાલતમાં મળી આવ્યોત્રીજા બનાવમાં, મૂળ વાંકાનેરના ભીમગુડા ગામનો અને હાલ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રખડતું-ભટકતું જીવન જીવતો કિશોરભાઈ અલૂભાઇ આંકરિયા (ઉં.વ. 35) નામનો યુવાન ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે અવેડાની બાજુમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ શંકરભાઈ અલૂભાઇ આંકરિયા (ઉં.વ. 37, રહે. કડીયાણા, તા. હળવદ) ને જાણ કરવામાં આવી હતી. ટંકારા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 9:33 pm

13 વર્ષની સગીર ભત્રીજીને કાકા ભગાડી ગયા:પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી ત્રાસ આપવાનું ચાલુ કર્યું, કંટાળી સગીરા કાકા સાથે જ ભાગી ગઈ પેરોલ ફર્લો ટીમે સગીરાને મુક્ત કરાવી

રાજકોટ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરીયાદીની 13 વર્ષની દીકરીને વાલીપણામાથી કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી નાસી ગયો હતો જે અંગેની તપાસ બી ડિવીઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બાદમાં તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટને સોંપતા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સના આધારે તપાસ કરી ભોગ બનનાર તથા આરોપી સાયલા ખાતે હોવાની માહીતી મળતા ભોગબનનાર બાળકી તથા તેમની સાથે એક શખ્સને પકડી બી ડિવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે તેના પિતાનું અવસાન થતાં માતાએ અન્ય પુરુષ સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરા પણ તેમની સાથે રહેતી હતી પરંતુ માતાના ત્રાસથી કંટાળી સગીરા તેના નવા પિતાના 20 વર્ષીય ભાઈ સાથે ભાગી સાયલા મજૂરીકામ કરવા લાગ્યાં હતા. હાલ પોલીસે સગીરાનું મેડિકલ કરાવવા તજવીજ હાથ ધરી છે. જો સગીરા સાથે ગેરકાયદેસર કૃત્ય થયું હશે તો દુષ્કર્મની કલમ પણ ઉમેરવામાં આવશે. પાણીના ટાંકામાં પડી જતા એક વર્ષના બાળકનું મોત રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રામવન પાસે મુકેશપાર્ક શેરી નંબર 1માં રહેતા ભરતભાઈ મુંધવાનો 2 વર્ષનો દીકરો હિરેન ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે પાણીના ટાંકામાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હિરેનના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ હિરેન ન દેખાતા તેમના માતાને એમ થયું કે, કાકા હિરેનને રમાડતા હશે. થોડી વાર બાદ માતાએ કાકાને એકલા જોતા પૂછ્યું કે હિરેન ક્યાં છે? કાકાએ કહ્યું કે અહીં મારી પાસે નથી. જેથી બંનેએ તુરંત ઘરમાં હિરેનને શોધ્યો પણ મળ્યો ન હતો પછી ઘર બહાર શોધખોળ કરતા પાણીના ટાંકામાંથી બેભાન મળી આવ્યો હતો. હિરેન તેના માતા પિતાનું એકનું એક સંતાન હતો જેના મોતથી પરિવારમાં શોક છવાયો છે. પતંગ ચગાવતી વખતે ત્રીજા માળેથી બાળક પટકાયો મુળ કાનપુર રહેતો આદિત્ય રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.9) નામનો બાળક તેના પિતા રાજકોટમાં ગોકુલધામ કવાર્ટરમાં રહેતા હોય ત્યા આટો મારવા આવ્યો હતો. દરમિયાન આજે સવારે 10 વાગ્યાના આસપાસ કવાર્ટરની અગાસી ઉપર પતંગ ઉડાડતો હતો ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તેની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં આદિત્ય અને તેના માતા કાનપુર રહે છે અને આદિત્ય એક ભાઇ એક બહેનમાં મોટો અને ધો.2માં અભ્યાસ કરે છે. તેના પિતા રાજકોટમાં ગોકુલધામ રહી ડેરીમાં નોકરી કરે છે. ઉતરાયણનો તહેવાર આવતો હોવાથી આદિત્ય તેની માતા સાથે રાજકોટ પિતાના ઘરે આટો મારવા માટે આવ્યા હતા અને આજે અગાસી ઉપર પતંગ ચગાવતી વખતે આ બનાવ બન્યો હતો. સાયબર ક્રાઇમના ગુનામાં નાસ્તા ફરતા એઓપીની ધરપકડ પેરોલ ફર્લો સ્કોડના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અલગ અલગ ત્રણ ગુના અને રાજસ્થાનના કરોલી સાયબર પોલીસ સેશનમાં નોંધાયેલ એક ગુના મળી કુલ ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી ધ્રુવરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા (ઉ.વ.27)ને ઝડપી લઇ સાયબર ક્રાઇમ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ શખ્સે મવડીના એમ.આર હાર્દિક ઉમરાણીયાનો સોશિયલ મીડિયા મારફત સંપર્ક કરી યુએસડીટીમાં રોકાણ કરી આકર્ષક વળતર મેળવવાની લાલચ આપી રૂ.31.54 લાખનો પડાવ્યા હતા. આ ઉપરાંત આરોપી સામે સાયબર ફ્રોડના નાણાં અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કરવા મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુના પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 9:19 pm

રાણાવાવ પોલીસે ₹36,000નો મુદ્દામાલ પરત કર્યો:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને સોંપાયો

પોરબંદર જિલ્લામાં રાણાવાવ પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુનાના કામે જપ્ત કરાયેલ ₹36,000 નો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કર્યો છે. આ કામગીરી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ મુદ્દામાલમાં કલમ BNS 6.305(સી) અને 54 હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જપ્ત કરાયેલી ટ્રકની 6 એક્સલનો સમાવેશ થાય છે. નામદાર કોર્ટના આદેશ અનુસાર આ એક્સલ મૂળ માલિકને સોંપવામાં આવી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.ડી. સિસોદિયા સહિતના સ્ટાફે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જિલ્લા પોલીસ વડાની આ પહેલનો ઉદ્દેશ્ય ગુનામાં જપ્ત કરાયેલ મુદ્દામાલ કાયદેસર પ્રક્રિયા બાદ મૂળ માલિકોને પરત કરીને લોકોમાં વિશ્વાસ સ્થાપિત કરવાનો છે. આ કાર્યક્રમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 9:01 pm

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ:નાયબ મામલતદારના વતન ગિયોડમાં બે બંધ મકાનમાં ચોરી, રાણી છાપના સિક્કા સહિત 5 લાખની મત્તા સાફ

ગાંધીનગર નજીક આવેલા ગિયોડ ગામમાં તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે. વાવોલ ખાતે રહેતા નાયબ મામલતદારના નિવૃત પિતાના ગિયોડ સ્થિત બંધ મકાનના તાળા તોડી તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.5.25 લાખથી વધુની મત્તા ચોરીને ફરાર થઈ જતા ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાયબ મામલતદારના વતન ગિયોડમાં બે બંધ મકાનમાં ચોરીપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ ગિયોડના વતની અને હાલ ગાંધીનગરના વાવોલ ગામમાં અંબિકા રેસિડેન્સીમાં નિવૃત જીવન ગુજારતા ભીમજીભાઈ મોતીભાઈ પટેલના ગિયોડમાં બે મકાન આવેલા છે. જેમના પુત્ર નાયબ મામલતદાર છે. ગત તા. 7 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે તેમના પિતરાઈ ભાઈ ગાભુભાઈ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે, ગિયોડવાળા મકાનના લોક તૂટેલા છે અને દરવાજા ખુલ્લા છે. લાકડાના દરવાજાના નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યાઆથી ભીમજીભાઈ અને તેમનો પુત્ર કૌશલભાઈ તાત્કાલિક ગામડે દોડી આવ્યા હતા. બાદમાં મકાનમાં તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, લોખંડની જાળી અને મુખ્ય લાકડાના દરવાજાના નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ઘરના ઓરડામાં રાખેલી લોખંડની તિજોરીનું લોક તોડી અંદરના કપડાં વેરવિખેર કરી દેવાયા હતા. રાણી છાપના સિક્કા સહિત 5 લાખની મત્તા સાફબાદમાં તિજોરીમાંથી સોનાની ચેચણ, સોનાની ચેઈન, કાનની બુટ્ટી તેમજ ચાંદીનો કંદોરો, પગની સેર અને 9 જેટલા જુના રાણીછાપ સિક્કા, 17 હજારથી વધુની રોકડ મળીને કુલ રૂ.5.25 લાખથી વધુની મત્તા તસ્કરો ચોરી ગયા હતા. ભીમજીભાઈની ફરિયાદ મુજબ, તા. 6 જાન્યુઆરીની સાંજથી તા. 7 જાન્યુઆરીની સવાર દરમિયાન કોઈ પણ સમયે તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. જ્યારે તેમના બીજા મકાનમાં કોઈ કિંમતી ચીજવસ્તુ ન રાખી હોવાથી ત્યાંથી કોઈ ચોરી થઈ નથી. હાલમાં પોલીસે અજાણ્યા ચોર શખસો વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 9:00 pm

વિજાપુરમાં 100 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી, 15 વર્ષીય કિશોરનું મોત:અડધા કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ બહાર કઢાયો, ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં આજે સાંજના સમયે એક ઘટના સામે આવી છે. શહેરના હુસેની ચોક વિસ્તારમાં વર્ષો જૂનું વડનું ઝાડ અચાનક ધરાશાયી થતાં સાયકલ લઈને નીકળેલા એક 15 વર્ષીય કિશોરનું દબાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મુસ્લિમ સમાજ સહિત સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 100 વર્ષનું ઝાડ ધરાશાયી થતા કિશોર દબાયોવિજાપુરની આસિયાના સોસાયટીમાં રહેતો 15 વર્ષીય કિશોર મોહમદ યાસીન આજે ગુરુવારની સાંજે સાતેક વાગ્યાના સુમારે પોતાની સાયકલ લઈને ઘરેથી રમવા માટે નીકળ્યો હતો. તે જ્યારે હુસેની ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક અંદાજે 100 વર્ષ જૂનું વિશાળ વડનું ઝાડ તેની ઉપર પડ્યું હતું. ઝાડ એટલું વિશાળ હતું કે કિશોર તેની નીચે સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. સ્થાનિક રહીશ સૈયદ તનજીલ અલીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અડધા કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ બહાર કઢાયોઘટનાની જાણ થતા જ વિજાપુર નગરપાલિકાનું તંત્ર અને જેસીબી મશીન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો અને તંત્રની ભારે જહેમત બાદ અંદાજે 30 મિનિટ પછી બાળકને ઝાડ નીચેથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગંભીર હાલતમાં કિશોરને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:54 pm

દાદરા નગર હવેલીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા:રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર, ઘટના CCTVમાં કેદ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામની વેદાંતા સોસાયટીમાં મોડી રાત્રે એક બંધ મકાનમાં ચોરી થઈ હતી. આ ઘટનામાં ચાર અજાણ્યા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરો રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રે આશરે અઢી વાગ્યાના સુમારે ચાર વ્યક્તિઓ મોઢા પર રૂમાલ અને મફલર બાંધીને સોસાયટીમાં પ્રવેશ્યા હતા. તેમના હાથમાં હથોડી અને સળિયા જેવા સાધનો હતા. તેઓએ એક બંધ ફ્લેટના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જે ફ્લેટમાં ચોરી થઈ હતી તેના માલિક છેલ્લા ત્રણ દિવસથી બહારગામ હતા. સવારે સોસાયટીના અન્ય રહેવાસીઓએ ફ્લેટનું તૂટેલું તાળું જોતાં તરત જ ફ્લેટ માલિક અને નરોલી પોલીસને જાણ કરી હતી. ફ્લેટ માલિક ઘરે પરત ફર્યા બાદ તપાસ કરતા ઘરમાંથી રોકડા રૂ. 10,000 અને સોનાનું મંગળસૂત્ર સહિત કુલ અંદાજે રૂ. 1.50 લાખનો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું હતું. સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીના ઇરાદે સોસાયટીમાં પ્રવેશતા ચાર શખ્સો સ્પષ્ટપણે દેખાયા હતા. આ ઘટના અંગે નરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:52 pm

સુરતના વૃદ્ધાને 50 તોલા સોનું ગીરવે મૂકી લોન લેવા દબાણ:જેટ એરવેઝ કૌભાંડનો ડર બતાવી ત્રણ દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા, UASમાં રહેતા પુત્રની સમયસૂચકતાથી બચાવ

સુરતમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધા તાજેતરમાં એક ભયાનક સાયબર ફ્રોડનો શિકાર બનતા રહી ગયા હતા. સાયબર ઠગોએ તેમને ફોન કરીને જણાવ્યું કે, જેટ એરવેઝના 534 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કૌભાંડમાં તેમનું નામ આવ્યું છે. તપાસ એજન્સીના અધિકારી બનીને વાત કરતા ગઠિયાઓએ વૃદ્ધાને ડરાવ્યા હતા કે તેમના નામે ખોટા બેંક ખાતા ખોલાવવામાં આવ્યા છે. આ ડરના કારણે વૃદ્ધા સોમવારથી બુધવાર સુધી પોતાના જ ઘરમાં 'ડિજિટલ અરેસ્ટ' રહ્યા હતા, જેમાં ઠગો તેમને સતત વીડિયો કોલ અને ફોન દ્વારા નજરકેદ રાખતા હતા. આ છેતરપિંડીમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ઠગોએ તેમની મિલકત અને સોનાની વિગતો કઢાવી લીધી હતી. જ્યારે વૃદ્ધાએ જણાવ્યું કે તેમની પાસે 50 તોલા સોનું છે, ત્યારે ઠગોએ તેમને બેંકમાં જઈને આ સોનું ગીરો મૂકી તેના પર લોન લેવા અને તે પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. બેંક મેનેજરે લોન આપવાનો ઇનકાર કરતા ઠગોનો પ્લાન નિષ્ફળસાયબર ક્રાઇમ સેલના ડીસીપી બિશાખા જૈનના જણાવ્યા અનુસાર, સોનાના દાગીના ગીરો મુકાવી લોન લેવડાવવાનો આવો કિસ્સો પ્રથમ વખત સામે આવ્યો છે. સદનસીબે, બેંક મેનેજરે લોન આપવાનો ઇનકાર કરતા ઠગોનો આ પ્લાન નિષ્ફળ ગયો હતો. માનસિક તણાવમાંથી પસાર થતા વૃદ્ધાને દીકરાએ બચાવ્યાવૃદ્ધા જ્યારે આ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને ગુરુવારે અમેરિકા રહેતા તેમના પુત્રને ફોન કરીને આખી ઘટના જણાવી હતી. પુત્રએ તરત જ આ સાયબર ફ્રોડ હોવાનું ઓળખી લીધું અને તેની માતાને તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવા કહ્યું હતું. પુત્રની સમયસૂચકતા અને માર્ગદર્શનને કારણે વૃદ્ધા મોટી આર્થિક નુકસાનીમાંથી બચી ગયા હતા. જો પુત્રએ સમયસર હસ્તક્ષેપ ન કર્યો હોત, તો 50 તોલા સોનાની કિંમત જેટલી મોટી રકમ ઠગો પડાવી લેતા. વિદેશ યાત્રાની ડિટેઇલના આધારે વૃદ્ધાને ટાર્ગેટ કર્યાપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સંગીતાબેન છ મહિના પહેલા જ અમેરિકામાં પુત્ર પાસે ગયા હતા અને ત્યાંની વિગતો સોશિયલ મીડિયા પર અપડેટ કરતા રહેતા હતા. સાયબર ગુનેગારોએ તેમની આ ઓનલાઇન એક્ટિવિટી અને વિદેશ પ્રવાસ પર નજર રાખીને જ તેમને ટાર્ગેટ કર્યા હતા. ઠગોએ તેમને એવી રીતે ફસાવ્યા હતા કે તેમને લાગ્યું કે તેઓ ખરેખર કોઈ કાયદાકીય તપાસમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પર અંગત વિગતો શેર કરવી કેટલી જોખમી બની શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. અન્ય લોકોને આવા 'ડિજિટલ અરેસ્ટ'થી સાવધ રહેવા સૂચનહાલમાં સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપી બિશાખા જૈને અપીલ કરી છે કે વડીલોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે અને કોઈપણ અજાણ્યા કોલ દ્વારા નાણાકીય વ્યવહાર કે પ્રોપર્ટીની વિગતો આપવી જોઈએ નહીં. સંગીતાબેને પણ પોતાની આપવીતી જણાવી અન્ય લોકોને આવા 'ડિજિટલ અરેસ્ટ'થી સાવધ રહેવા અને મુશ્કેલીના સમયે પરિવારના સભ્યો કે પોલીસની મદદ લેવા સૂચન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:49 pm

'ગીતા વંદના':ચિન્મય મિશનનાં 75 વર્ષની ભવ્ય ઉજવણી, અમદાવાદના સેટેલાઈટમાં 11 જાન્યુઆરીએ સાંજે ભવ્ય કાર્યક્રમ

જ્ઞાનયજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગપુરુષ અને ગીતા જ્ઞાનયજ્ઞ પ્રચારક તરીકે વિશ્વવિખ્યાત સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત ચિન્મય મિશન ગૌરવપૂર્ણ 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગને વિશ્વભરનાં 350થી વધુ ચિન્મય કેન્દ્રો દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવશે. વેદ, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનને સરળ અને સ્પષ્ટ રૂપે જન-જન સુધી પહોંચાડવા માટે સ્વામી ચિન્મયાનંદજીએ પોતાના જીવનકાળ દરમિયાન 500થી વધુ જ્ઞાનયજ્ઞોનું આયોજન કર્યું. આ અમૂલ્ય આધ્યાત્મિક યાત્રાને કૃતજ્ઞતા અર્પણ કરવા ચિન્મય અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવ અંતર્ગત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા “ગીતા વંદના” નામે એક વિશિષ્ટ અને આત્મસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.11મી જાન્યુઆરીના રોજ, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. બે કલાકનો આ કાર્યક્રમ દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહેશે. તેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોકોમાંથી અમૃત સમાન પાંચ શ્લોકો — ‘ગીતા પંચામૃત’ને આધાર બનાવી ભાવસભર સંગીતમય નૃત્યપ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. આ હૃદયસ્પર્શી પ્રસ્તુતિ દ્વારા ગીતાના શાશ્વત સંદેશને આજના જીવન સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક ભાવનાનો સુમેળભર્યો સંગમ જોવા મળશે. આ સાથે ચિન્મય મિશન બાલવિહારનાં બાળકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે, જે બાળકોમાં સંસ્કાર, ભક્તિ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ક્ષમતાના વિકાસનું સુંદર પ્રતિબિંબ બની રહેશે. આ ભવ્ય કાર્યક્રમનું શિખરબિંદુ રહેશે ગીતા મહાઆરતી, જેમાં દરેક હાજર વ્યક્તિ ભાવપૂર્વક સહભાગી બની શકશે. તે સાથે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથનું શોભાયાત્રા દ્વારા ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે 1000થી વધુ લોકો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવશે, જે સમગ્ર વાતાવરણને દિવ્ય આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ કરી દેશે. ચિન્મય અમૃત મહોત્સવ – ગીતા વંદના માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગીતા સાથે જોડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:37 pm

ઉમરગામ નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરી:વેપારીઓ પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરી દંડ વસૂલ્યો

ઉમરગામ નગરપાલિકાએ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં દુકાનો અને વ્યાવસાયિક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, કેટલાક વેપારીઓ તેમની દુકાનોમાં ગુપ્ત રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા જોવા મળ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને સીલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નગરપાલિકાના નિયમો અનુસાર તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકાએ વેપારીઓને ભવિષ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા માટે કડક સૂચના આપી હતી. નગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનના ભાગરૂપે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:36 pm

દમણ પાલિકાએ વિકાસ આર્કેડ બિલ્ડીંગ સામે કાર્યવાહી કરી:ગંદકી ફેલાવવા બદલ ચીફ ઓફિસરના આદેશથી વીજ જોડાણ કપાયું

સંઘ પ્રદેશ દમણના નાની દમણમાં આવેલા વિકાસ આર્કેડ બિલ્ડીંગ સામે દમણ નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. લાંબા સમયથી જાહેરમાં ગંદકી ફેલાવવા અને ગંદુ પાણી રસ્તા પર વહેવડાવવા બદલ બિલ્ડીંગનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. આ કાર્યવાહી ચીફ ઓફિસર સંજામ સિંહના આદેશ બાદ કરવામાં આવી હતી. નાની દમણના જૂના પોલીસ મથકની સામે આવેલા આ બિલ્ડીંગ દ્વારા કચરો જાહેરમાં ફેંકવામાં આવતો હતો અને લાઇન લિકેજના કારણે ગંદુ પાણી રસ્તા પર વહેતું હતું. આના કારણે આસપાસના રહીશોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હતું અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફેલાવવાની દહેશત હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દમણ નગરપાલિકાએ ગત 28 નવેમ્બર, 2024ના રોજ બિલ્ડીંગના સભ્યોને નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં ગંદકી અટકાવવા અને જર્જરિત પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જોકે, બિલ્ડીંગના સદસ્યો દ્વારા પાલિકાની નોટિસની ગંભીર અવગણના કરવામાં આવી હતી અને જરૂરી સમારકામ કરવામાં આવ્યું ન હતું. આખરે, ચીફ ઓફિસર સંજામ સિંહના આદેશ અનુસાર, પાલિકાના સ્ટાફ, ઇલેક્ટ્રિશ્યન અને સુપરવાઈઝરની ટીમે સ્થળ પર પહોંચી વિકાસ આર્કેડ બિલ્ડીંગનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બિલ્ડીંગ સામે પાલિકા દ્વારા કરવામાં આવેલી આ દાખલારૂપ કાર્યવાહીને પગલે અન્ય સોસાયટીઓના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:35 pm

ભરૂચમાં રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપાયો:બે આરોપી ઝડપાયા, રૂ. 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે રેલવે ગોદી રોડ પરથી રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ રૂ. 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી બે ઈસમો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ગોદી રોડ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેલવે ગોદી રોડ પર આવેલી પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની રિક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 216 બોટલ મળી આવી હતી. પોલીસે ₹42,000નો દારૂ, ₹50,000ની રિક્ષા અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ત્રણ કુવા ફાટક,અમન રેસિડેન્સી ખાતે રહેતા સહેજાદ ઈમ્તિયાઝ શેખ અને શરીફ નવાજ મહેબુબમિયા મલેકને ઝડપી પાડ્યા છે. દારૂનો જથ્થો મંગાવનાર અજય વસાવા સહિત અન્ય બે ઈસમો ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:16 pm

'ગરીબ વધુ ગરીબ થયો અને ભાજપના સાંસદો માલામાલ થયા':સાસંદોની સંપત્તિમાં તોતિંગ વધારા મુદ્દે ગોપાલ ઇટાલિયાના ભાજપ પર પ્રહાર

નવસારી શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'પરિવર્તન યાત્રા'નું આયોજન કરાયું હતું. ભગવાન બિરસા મુંડા સર્કલથી જૂના થાણા સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવાનો અને રાજકીય પરિવર્તન લાવવાનો હતો. આ તકે સાસંદોની સંપત્તિમાં તોતિંગ વધારા મુદ્દે ગોપાલ ઇટાલિયાના ભાજપ પર પ્રહાર કર્યાં હતા. પરિવર્તન યાત્રામાં AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી દ્વારા AAPએ નવસારીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. રેલી દરમિયાન, નેતાઓએ નવસારીના પાયાના પ્રશ્નો જેવા કે પીવાના પાણીની અનિયમિતતા, ગટર વ્યવસ્થાની કથળતી સ્થિતિ, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓનો અભાવ, તથા દારૂબંધીના કાયદાના અમલને લઈને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, નવસારીમાં ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધી ભાજપનું શાસન હોવા છતાં જનતા સામાન્ય સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપે ખેડૂતો અને ગરીબોની આવક વધારવાના વાયદા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતામાં ગરીબ વધુ ગરીબ બન્યો છે અને ભાજપના નેતાઓ-સાંસદો માલામાલ થયા છે. ઇટાલિયાએ ઉમેર્યું કે, વિસાવદરથી શરૂ થયેલું પરિવર્તન હવે નવસારી સુધી પહોંચશે. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ સી.આર. પાટીલને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશના જળ શક્તિ મંત્રી અહીંના સાંસદ હોવા છતાં લોકોને 4-5 દિવસે પાણી મળે તે દુર્ભાગ્યપૂર્ણ છે. ગઢવીએ આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓએ વિકાસના નામે માત્ર પોતાનો અને પોતાના પરિવારનો જ વિકાસ કર્યો છે. પ્રજાની સંપત્તિમાં કોઈ વધારો થયો નથી, પરંતુ નેતાઓની મિલકતો અનેકગણી વધી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:04 pm

ગણપત યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ યોજાયો:મહાનુભાવોના હસ્તે 4721 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરાઇ

ગણપત યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ તાજેતરમાં યોજાયો આ પ્રસંગે સોમનાથથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાયેલા રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી પરંતુ, સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે, આજની પેઢી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્યતન ટેકનોલોજીનું બળ ઉપલબ્ધ છે ત્યારે યુવાનોએ માત્ર 'જોબ સીકર' બનવાને બદલે 'જોબ ક્રિએટર' બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશેઆ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROના અધ્યક્ષ ડો. વી. નારાયણે વિદ્યાર્થીઓને 'નિરંતર શીખતા રહેવા'નો મંત્ર આપ્યો હતો. તેમણે ભારતની સાયકલથી લઈને ચંદ્રયાન-3 સુધીની સફરનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. તેમણે વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના સૂત્ર દ્વારા પ્રોત્સાહિત કરતા કહ્યું કે, જે સ્નાતક પદવી મેળવ્યા બાદ શીખવાનું બંધ કરી દે છે તે લાંબો સમય શિક્ષિત રહી શકતો નથી. તેમણે સફળતા માટે ટીમવર્ક અને ઉમદા ચારિત્ર્યને અનિવાર્ય ગણાવ્યા હતા. ટેકનોલોજીના યુગમાં જ્ઞાન એઆઈથી મળી શકે છે પણ માનવીય મૂલ્યો નહીંયુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે કહ્યું કે 26 વર્ષ પહેલા જ્યાં માત્ર બાવળો હતા, આજે ત્યાં હજારો સ્નાતકો તૈયાર થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજીના યુગમાં જ્ઞાન એઆઈથી મળી શકે છે, પણ માનવીય મૂલ્યો અને ચારિત્ર્યનો કોઈ વિકલ્પ નથી. આ તકે અશોક ચૌધરીએ પણ વિદ્યાર્થીઓને માતૃભૂમિ અને સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરવા અને વડાપ્રધાનના 'વિકસિત ભારત 2047'ના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું હતું. સૌથી વધુ 2629 વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રે પદવી પ્રાપ્ત કરી હતીઆ 19માં પદવીદાન સમારોહમાં કુલ 4721 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 3520 વિદ્યાર્થીઓ અને 1199 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જેમાં 101 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 32 સંશોધકોને પીએચડીની પદવી એનાયત કરાઈ હતી. સૌથી વધુ 2629 વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રે પદવી પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે કોફી ટેબલ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 8:00 pm

એક્સપાયર્ડ મીઠાઈનો મોટો જથ્થો ઝડપાયો:ખોડિયારનગરમાં લવ્લી સ્વીટમાંથી 13,200 કિલો મીઠાઈના જથ્થાનો નાશ, લાઈસન્સ વગર જથ્થો સંગ્રહ કર્યાની ફરિયાદ નોંધાશે

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળની ખોરાક શાખાએ મ્યુનિસિપલ કમિશનરની સૂચના તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો તથા ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ આકસ્મિક તપાસ હાથ ધરી છે. જેમાં મોટા પ્રમાણમાં અખાદ્ય સામગ્રી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. 13,200 કિલો મીઠાઈના જથ્થાનો નાશખોરાક શાખાની ટીમે શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ લવ્લી સ્વીટ નામની ખાદ્ય ઉત્પાદન યુનિટમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં એક્સપાયર્ડ તારીખવાળી મીઠાઈઓ મળી આવી હતી. જેમાં કન્ફેક્શનરી પેડા આશરે 8000 કિલો, કતરી આશરે 700 કિલો, બરફી આશરે 2500 કિલો, લાડુ આશરે 700 કિલો તથા અન્ય ફેન્સી મીઠાઈઓ આશરે 1300 કિલો સહિત કુલ અંદાજે 13200 કિલો મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 7,50,000 આંકવામાં આવી છે. આ તમામ એક્સપાયર્ડ મીઠાઈઓનો જથ્થો જામ્બુવા લેન્ડફિલિંગ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવ્યો છે. ખાદ્યપદાર્થોના 26 યુનિટોમાં આકસ્મિક તપાસઆ ઉપરાંત શહેરના વારસિયા, નરસિંહ ટેકરી, તિવારીની ચાલ, ફતેપુરા, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલી 26 યુનિટોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અખાદ્ય અને અસ્વચ્છ ગણાતા 50 લીટર પાણીપુરીનું પાણી, 60 કિલો બટાકા, 4 કિલો બાફેલા ચણા તથા 3 કિલો સફેદ બાફેલા વટાણાનો નાશ કરવામાં આવ્યો હતો. લાઈસન્સ વગર જથ્થો સંગ્રહ કર્યાની ફરિયાદ નોંધાશેમહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર વિરોનિકાબેને જણાવ્યું કે, ખોડિયારનગર વિસ્તારમાં આજે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ દુકાનદાર પોતાની દુકાનમાં વસ્તુ બનાવીને સંગ્રહ કરેલ હતો. જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. છતાં ત્યાંથી મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે જેનો નાશ કર્યો છે. આગામી સમયમાં આવી કાર્યવાહી અમે કરતા રહીશું.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:58 pm

Editor's View: પાકિસ્તાનને ઉખાડીને ફેંકી દો:બલૂચિસ્તાનમાં વિદ્રોહ, મોદીને ખુલ્લું સમર્થન, માસ્ટર માઇન્ડ ચીનની મેલી મુરાદથી ભારતને ચેતવ્યું

આજે આપણે જે વાત કરવાના છીએ એ સુરતના હીરાના કારખાનામાં બેઠેલા રત્નકલાકારથી લઈને મુન્દ્રા પોર્ટ પર જહાજોની અવરજવર જોતા શિપિંગ એજન્ટ અને તમામ ગુજરાતીઓને આડકતરી રીતે અસર કરવાની છે. કારણ કે આજનો વિષય આપણા ખિસ્સા અને ભારતની સુરક્ષા સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનના વિસ્તાર બલૂચિસ્તાનના લીડરે ભારતને એક પત્ર લખ્યો છે જેમાં તેણે ભારતની અને ઓપરેશન સિંદૂરના ભરપેટ વખાણ કર્યા છે અને પાકિસ્તાનને ઉખાડી ફેંકવાની વાત કરી છે. અધૂરામાં પૂરું આજે સમાચાર આવ્યા છે કે આ જ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું હતું અને 60 વખત અમેરિકા આગળ ભીખ માગી હતી કે ભારતને કહો ઓપરેશન સિંદૂર રોકે. વાત કરીએ શું થયું હતું અને બલૂચિસ્તાન કેમ ભારતના વખાણ કરી રહ્યું છે અને પોતાના જ દેશને ગાળો ભાંડી રહ્યું છે. નમસ્કાર... આપણે ગુજરાતીઓ ધંધાદારી માણસો છીએ. આ સિવાય બજારની હલચલ પણ નજર રાખતા હોઈએ છીએ. હાલ અરબી સમુદ્રનાં મોજાં એક નવો ઈતિહાસ લખવાં જઈ રહ્યાં છે કારણ કે આપણા પાડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટી હલચલ થઈ રહી છે. થયું કંઈક એવું કે ડિસેમ્બરના અંતમાં પાકિસ્તાનના બલોચ નેતા મીર યાર બલોચે ભારતને પત્ર લખીને ધમાકો કર્યો. આ સામાન્ય કાગળ ન હતો પણ પાકિસ્તાનના મૃત્યુઘંટનો રણકો હતો. પત્રમાં લખવામાં આવ્યું છે કે, જો ભારત નહીં જાગે તો પાકિસ્તાનનાં ગ્વાદર બંદર પર ચીનની સેનાનાં બૂટના અવાજ સંભળાશે. જો આવું થાય તો તેની સીધી અસર ઓખા, પોરબંદર અને વેરાવળના માછીમારો પર પડશે. આ ગુજરાત અને ભારત માટે એક રેડ એલર્ટ સિચ્યુએશન છે. આપણે જે બલૂચિસ્તાનની વાત કરી રહ્યા છીએ એ શું છે અને ક્યાં આવેલું છે એ પણ જાણીએ પાકિસ્તાનના ચાર પ્રાંત છે, જેમાં સૌથી મોટો બલૂચિસ્તાન છે. દેશની 44 ટકા જમીન આ પ્રાંતમાં છે. પણ અહીંની વસતી 1.5 કરોડ એટલે કે કુલ વસતીના માત્ર 5 ટકા છે. તેની સરહદ ઇરાન અને અફઘાન સાથે જોડાયેલી છે. આ પ્રાંત કોલસો, તાંબુ, સોનું અને યુરેનિયમનો ભંડાર છે. ઇતિહાસના પાના ઉથલાવીએ તો સમજાય છે કે બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ બનવા માંગતું નહોતું. 11 ઓગસ્ટ, 1947ના રોજ બલુચિસ્તાન (ત્યારે કલાત સ્ટેટ) આઝાદ હતું. પરંતુ 27 માર્ચ, 1948ના રોજ પાકિસ્તાની સેનાએ બળજબરીથી અને છેતરપિંડીથી તેના પર કબજો કર્યો. છેલ્લા 79 વર્ષથી બલોચ પ્રજા આ ગુલામી વિરુદ્ધ લડી રહી છે. 1998માં પાકિસ્તાને બલુચિસ્તાનના ચાગાઈ પહાડોમાં જે પરમાણુ પરીક્ષણો કર્યા, તેની કિરણોત્સર્ગી અસર આજે પણ ત્યાંના બાળકોમાં ખોડખાપણ રૂપે જોવા મળે છે. હવે જાણીએ મીર યાર બલોચ વિશે જેણે ભારતની મદદ માગી છે અને પાકિસ્તાનને મૂળથી ઉખાડી ફેંકવાની વાત કહી છે. હવે જાણીએ કે ભારત, વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરને મીર બલોચે લખેલા ખુલ્લા પત્રની પાંચ મોટી વાત શું છે. મીર બલોચના પત્રને બીટવીન ધ લાઈન્સ સમજીએ તો આખી વાર્તામાં પાકિસ્તાન તો માત્ર એક પ્યાદું છે. અસલી માસ્ટરમાઇન્ડ તો ચીન છે. ચીનનો ઈરાદો સ્પષ્ટ છે. પાકિસ્તાનને દેવાના બોજ હેઠળ એટલું દબાવી દેવું કે તે પોતાની જમીન ચીની સેનાને સોંપી દે. CPEC એટલે કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર હવે આર્થિક પ્રોજેક્ટ નથી રહ્યો, પણ ભારતને ઘેરવાની એક લશ્કરી જાળ બની ગઈ છે. અરબ સાગરના કિનારે આવેલું પાકિસ્તાનનું ગ્વાદર બંદર હવે ચીનનું પશ્ચિમી મોરચો બનવા જઈ રહ્યું છે. મીર બલોચે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે તેની વાત કરીએ તો એપ્રિલમાં કાશ્મીર વિસ્તારના પહેલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ ભારતીયોના માથા પર ગોળીઓ મારી હતી. ભારત ગિન્નાયુ અને 6-7 મેના દુનિયા સૂતી હતી ત્યારે પાકિસ્તાનના બહાવલપુર અને મુરીદકેની આતંકી ફેક્ટરીઓ પર રાફેલ અને સુખોઈ ઉડાવ્યા અને ભારતની સરહદ નજીકના આતંકીઓના ચીંથરાં ઉડાવી ચાર દિવસમાં સરહદી સંઘર્ષ જીતી લીધો. આ બધી વિગતો આપણે જાણીએ છીએ પણ જે નથી જાણતા તે હવે સામે આવી છે. ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર લોંચ કર્યું ત્યારે પાકિસ્તાને 60 વાર અમેરિકાના ટોચના વહીવટી અધિકારીઓ, સાંસદો, પેન્ટાગોન અને વિદેશ વિભાગના અધિકારીઓ પાસે ભારતને રોકવા ભીખ માગી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને લિટરલી ક્રાઈસિસ લોબિંગ શરૂ કરી હતી. પાકિસ્તાન કોઈપણ રીતે ભારત પર અમેરિકાનું દબાણ બનાવીને યુદ્ધ રોકવા માંગતું હતું. તેણે ટ્રમ્પ પ્રશાસન સુધી ઝડપથી પહોંચ બનાવવા, વેપાર અને રાજદ્વારી નિર્ણયોને પ્રભાવિત કરવા માટે 6 લોબિંગ ફર્મ્સ પર લગભગ ₹45 કરોડ ખર્ચ કર્યા હતા. અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ એટલે કે FARAના લેટેસ્ટ રિપોર્ટ મુજબ પાકિસ્તાને અમેરિકાને ઓફર આપી કે અમને ભારતથી બચાવો અને બદલામાં અમારા લિથિયમ અને કોપરના ભંડારોની સપ્લાય ચેઈનમાં હિસ્સો લઈ જાવ. એક રીતે અમેરિકાએ ભારતથી બચવા અમેરિકાને પોતાનું સાર્વભૌમત્વ વેચી દીધું. આ મામલે ભારતે પણ દુનિયા સામે પોતાની વાત મજબુતાઈથી રાખવા અમેરિકામાં ખૂબ લોબિંગ કર્યું હતું. અમેરિકન લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLC મુજબ10 મેના રોજ આ ફર્મે ભારતીય દૂતાવાસ વતી વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સૂસી વાઇલ્સ, અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના રિકી ગિલ સાથે સંપર્ક કરાવવામાં મદદ કરી હતી. લોબિંગ એટલે એક કાયદેસર પ્રક્રિયા જેમાં વ્યક્તિઓ, કંપનીઓ અથવા કોઈ વિદેશી સરકારો અમેરિકન સરકારના નિર્ણયો, કાયદાઓ અથવા તો નીતિઓમાં પોતાની વાતનો ભાર રાખવાનો પ્રયત્ન કરે. અમેરિકામાં લોબિંગ એટલે વિશ્વમાં પોતાની વાત મજબુતીથી મૂકવી. આ ઓપરેશનની વાત આવે અને ચીનની વાત ન આવે એવું બને નહીં. ચીને પાકિસ્તાનને CEPC પ્રોજેક્ટ માટે 62 બિલિયન ડોલર આપ્યા છે. જેનું વ્યાજ પાકિસ્તાનના કૂલ બજેટ કરતા પણ વધારે છે. એટલે ચીન હવે લોનના બદલે જમીનની નીતિ અપનાવશે. અમેરિકા સહિત યુરોપ ભારતને સતત સુફિયાણી સલાહો આપતું રહ્યું છે કે ભારતે પાકિસ્તાનના આંતરિક મામલામાં ન પડવું જોઈએ. યુદ્ધ થાય તો ભારતનું જ અર્થતંત્ર બગડશે. પણ આ જ વાત 1971માં પણ બીજા દેશો કહેતા હતા. જો આપણે પાકિસ્તાનના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કર્યો હોત તો ત્યારનું પૂર્વ પાકિસ્તાન અને આજનું બાંગ્લાદેશ આતંકવાદની મોટી ફેક્ટરી બની ગયું હોત. માટે આજે બલુચિસ્તાનની મદદ બાદ આપણે તેને પાકિસ્તાન સામે લડવા ટેકો નહીં આપીએ તો આવનાર સમયમાં ચીની નૌકાદળ ગ્વાદરમાં અને ચીની આર્મી પાકિસ્તાનમાં બેસીને ભારત સામે જ ફેણ ઉગામશે. ભારત બલુચની મદદ કરે તો તે હસ્તક્ષેપ નહીં પણ રશિયાએ યુક્રેન સાથે જે કર્યું તેવું આત્મરક્ષણ હશે. વોશિંગ્ટનમાં રિકી ગીલની એક ફાઈલ પરની સહી, રાવલપિંડીમાં પાકિસ્તાની જનરલનો ગભરાટ અને બલુચિસ્તાનના પહાડોમાં મીર યાર બલોચનો પત્ર આ બધું એકસાથે મળીને ભારત અને ગુજરાતના શેરબજારમાં અસર કરી શકે છે. જો ભવિષ્યમાં પાકિસ્તાનના ગ્વાદરમાં અશાંતિ વધશે, તો ઓઈલના જહાજોના રૂટ બદલાશે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. વિદેશ નિષ્ણાતો કહી રહ્યા છે કે જો ગ્વાદરમાં ચીની લશ્કરની ગતિવિધિ વધે તો ભારત સહિત મુન્દ્રા, કંડલા કે હજીરા પોર્ટ પર પણ અસર થઈ શકે. બની શકે કે ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પણ વધે. આપણે અખાતી દેશોમાં સાથે પેટ્રોલ સહિત બીજી વસ્તુઓની મોટાપાયે આયાત-નિકાસ કરીએ છીએ. જો દરિયાઈ માર્ગમાં અસ્થિરતા વધે તો માલની ડિલોવરીના નેટવર્ક અને ખર્ચાઓમાં પણ અસર પડી શકે છે. જો ચીની સેના ગ્વાદરમાં મિસાઈલો તહેનાત કરે તો ગુજરાતના કચ્છ, દ્વારકા કે પોરબંદર તેની સીધી રેન્જમાં આવી શકે. જો કે સામેની બાજુ બીજી પણ શક્યતાઓ છે. જો ભારત યુનાઈટેડ નેશન્સમાં બલોચનો માનવાધિકારનો મુદ્દો ઉઠાવે તો વિશ્વએ બલૂચિસ્તાનની પીડા સાંભળવી પડી શકે. જો આવું થાય તો આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનના ટુકડા થવાની પણ શક્યતા રહેલી છે. ચીન ગ્વાદરમાં અને કોરિડોરમાં મોટો ખર્ચો કરી રહ્યું છે પણ ત્યાના બલોચ બળવાખોરો ચીનને રોકવા લોહી અને પરસેવો એક કરી રહ્યા છે. એવું પણ બની શકે કે ગ્વાદર ચીન માટે ફેલ પ્રોજેક્ટ પણ સાબિત થાય. અને છેલ્લે... મીર યાર બલોચે હમણા એક પોસ્ટ કરી હતી જેમાં ભાગલા સમયે બલોચિસ્તાન છોડી ભારત આવતા એક હિન્દુ પોતાની દુકાનની ચાવીઓ તેના બલોચ મિત્રને સોંપી ગયા હતા. તે બલોચ પરિવાર આજે પણ એ આશામાં દુકાન સાચવી રહ્યો છે કે તે હિંદુનો પરિવાર ક્યારેક તો પાછો આવશે. આ છે ભારત અને બલુચિસ્તાનનો ભાઈચારો. ઈતિહાસ સાક્ષી છે કે સરહદો બદલાઈ શકે છે, પણ સદીઓ જૂના આત્મીય સંબંધો ક્યારેય ભૂંસાતા નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:55 pm

સોમનાથ સ્વાભિમાન પર્વ માટે સૌરાષ્ટ્રમાંથી STની 1800 બસ ફાળવાશે:રાજકોટ ડિવિઝનમાંથી 200 વાહનો મુકાતા ગ્રામ્ય રૂટો પર અસર પડવાની શક્યતા

સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત આગામી તા.11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા ખાસ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાળુઓને સોમનાથ પહોંચાડવા માટે સૌરાષ્ટ્રના વિવિધ ડિવિઝનોમાંથી કુલ 1800 જેટલી બસો ફાળવવાનું આયોજન કરાયું છે. આ આયોજન હેઠળ રાજકોટ ડિવિઝનમાંથી 200 બસોની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ, અમરેલી અને જામનગર ડિવિઝનમાંથી પણ મોટી સંખ્યામાં બસો મેળવવામાં આવશે. તા.11ના રોજ યોજાનારા ખાસ સંચાલનને કારણે સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય રૂટોની બસ સેવા પર અસર પડવાની સંભાવના છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા પણ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ ભવ્ય પર્વમાં જોડાનારા લોકોને પરિવહનમાં મુશ્કેલી પડે નહીં. આમ, વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. કિશનગઢ સ્ટેશન પર પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસનું નવું સ્ટોપેજઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અંતર્ગત રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન સંખ્યા 19269/ 19270 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસને હવેથી રાજસ્થાનના કિશનગઢ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા મુજબ પોરબંદરથી 9 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19269 બપોરે 12:22 કલાકે કિશનગઢ પહોંચશે અને 12:24 કલાકે આગળ પ્રસ્થાન કરશે. મુઝફ્ફરપુરથી 11 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19270 રાત્રે 20:11 કલાકે કિશનગઢ આવશે અને 20:13 કલાકે રવાના થશે. રેલવે દ્વારા આ વધારાનું સ્ટોપેજ હાલ પ્રાયોગિક ધોરણે આગામી આદેશ સુધી અમલમાં મૂકવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે કિશનગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા તમામ મુસાફરોને લાંબા અંતરની મુસાફરી માટે સીધી કનેક્ટિવિટી મળતા નોંધપાત્ર રાહત થશે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:36 pm

રાજકોટ એરપોર્ટ પર રેપિડો સર્વિસ શરૂ:સૌરાષ્ટ્ર - કચ્છ વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને હવાઈ મુસાફરો માટે સ્નેકબારનો પ્રારંભ

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર - કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી ટ્રાન્સપોર્ટેશન માટે રેપિડો સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે જ દેશ વિદેશથી આવતા હવાઈ મુસાફરો માટે સ્નેક બારનું પણ ઓપનિંગ કરાયું હતું. આ ઉપરાંત ગુજરાતની ઓળખ સમાન પટોળા પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલા છે. રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, ગુજરાતની રીજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવાની છે ત્યારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો અને મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રેપિડો કેબ સેવા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુકિંગની સુવિધા આપવામાં આવશે અને મુસાફરોને મદદ કરવા માટે ટર્મિનલ બિલ્ડિંગની સામે પાર્કિંગ વિસ્તારમાં એક કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ટર્મિનલ બિલ્ડિંગની સામે સ્નેક બારનું પણ આજે ઓપનિંગ કરાયું હતું. જ્યા વાઇબ્રન્ટ સમિટમાં આવતા દેશ - વિદેશના મુલાકાતીઓ અને હવાઈ મુસાફરોને ચા, કોફી અને અલગ અલગ પ્રકારનું ફૂડ મળી રહેશે. આ સાથે જ ટર્મિનલ બિલ્ડિંગના પ્રસ્થાન વિસ્તારમાં AVSAR સુવિધા પણ કાર્યરત થશે. AVSAR (પ્રદેશના કુશળ કારીગરો માટે સ્થળ તરીકે એરપોર્ટ) એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની એક પહેલ છે. જે સ્વ-સહાય જૂથો (SHGs) અને સ્થાનિક કારીગરોને તેમના અનન્ય પ્રાદેશિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેનાથી સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે અને મહિલાઓને સશક્તિકરણ મળે છે. જે અંતર્ગત અહીં પટોળા ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:29 pm

રસ્તા અંગેનું જાહેરનામું:ભાવનગરમાં સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીનો રોડ 15 જાન્યુઆરી સુધી બંધ, ડાયવર્ઝન રસ્તાનો ઉપયોગ કરવો

ભાવનગરના શહેરના સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ સુધીના માર્ગ પર 'વ્હાઈટ ટોપીંગ' રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોવાથી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના દ્વારા આ માર્ગ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તા.7 જાન્યુઆરીથી તા.15 જાન્યુઆરી 9 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. ​જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને સૂચિત માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે, પ્રતિબંધિત રસ્તો સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રતીબંધીત રહેશે, ફોર વ્હિલર/ટુ-વ્હિલર વાહનો માટે ડાયવર્ઝન રૂટ (1) સહકારી હાટથી સંસ્કાર મંડળ ચોક તરફ જવા માંગતા વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટ પર તેઓને માધવ દર્શન ચોક - રબ્બર ફેક્ટરી સર્કલ-ઘોઘા સર્કલ - રૂપાણી સર્કલ - સરદારનગર સર્કલ- કે.ડી માણેક સર્કલ - સંસ્કાર મંડળ ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો (ફોર વ્હિલર/ટુ-વ્હિલર)(2) સહકારી હાટ - પરિમલ ચોક - વેલેન્ટાઇન સર્કલ- સંસ્કાર મંડળ ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો (ફોર વ્હિલર/ટુ-વ્હિલર) સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ તરફ જવા માંગતા વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટ વાળા વાહનોએ સંસ્કાર મંડળ ચોક - કે.ડી માણેક સર્કલ - સરદારનગર સર્કલ - રૂપાણી સર્કલ - ઘોઘા સર્કલ - રબ્બર ફેક્ટરી સર્કલ - માધવ દર્શન ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો (ફોર વ્હિલર/ટુ-વ્હિલર) (2) સંસ્કાર મંડળ ચોક - વેલેન્ટાઇન સર્કલ - પરિમલ ચોક - સહકારી હાટ સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો (ફોર વ્હિલર/ટુ-વ્હિલર) એસ.ટી/ભારે વાહનો રુટ સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ તરફ જવા તથા આવવા માંગતા એસ.ટી/ભારે વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટ વાહનો માટે એસ.ટી સ્ટેશન - નિલમબાગ સર્કલ - જવેલ્સ સર્કલ - દીલબહાર પાણીની ટાંકી - રામમંત્ર મંદિર જવા માટે સુચીત માર્ગનો ઉપયોગ કરવો. (એસ.ટી/ભારે વાહનો) રામમંત્ર મંદિર - દીલબહાર પાણીની ટાંકી - જવેલ્સ સર્કલ- નિલમબાગ સર્કલ - એસ.ટી સ્ટેશન જવા માટે સુચીત માર્ગનો ઉપયોગ કરવો. (એસ.ટી/ભારે વાહનો) જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને સૂચિત માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:24 pm

જુના વાડજમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બે ઝડપાયા:રામાપીરના ટેકરા સેક્ટર 5માં પોલીસે રેડ કરી, 93 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

વાડજ વિસ્તારમાં એક ગંભીર અને જોખમી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. ઘરેલું ગેસના બાટલામાંથી ગેસ કાઢી અન્ય બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે વાડજ પોલીસે દરોડા પાડ્યા હતા. જુના વાડજ રામાપીરના ટેકરા સેક્ટર-5 પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતો જોખમી ધંધો દરોડા પાડી ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે તપાસ કરતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનેક ગેસ બાટલામાં નક્કી વજન કરતા ઓછું ગેસ ભરેલું હતું. જેથી પોલીસે 93 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગેસ રિફિલિંગ કરાતી હોવાની પોલીસને બાતમી મળીજુના વાડજ રામાપીરના ટેકરા સેક્ટર 5 પાછળ ખુલ્લી જગ્યામાં બે શખ્સ ઘર વપરાશના ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ઘર વપરાશના ગેસના બાટલામાં ગેસ રિફિલિંગ કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસ તે જગ્યા પર પહોંચી ગઈ હતી. ખુલ્લી જગ્યાની થોડી દૂરથી પોલીસને એક લોડીંગ રીક્ષા અને તેની આજુબાજુ છૂટાછવાયા ગેસના બાટલા પડેલા હતા. જ્યાં બાટલામાં બે શખ્સો ઘરેલું ગેસના બાટલામાં પાઇપ જેવી વસ્તુ ભરાવી રહ્યા હતા. પોલીસ નજીક પહોંચી મયુર રાવત અને કાનજી ઉર્ફે બળવંત પરમાર ગેસ ભરેલ બાટલામાંથી ખાલી બાટલામાં રિફિલિંગ કરતા જોવા મળ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા ઇન્ડેન કંપનીના ઘરેલું ઉપયોગના બાટલા સામ સામે રાખીને વચ્ચે એલ્યુમિનિયમની પાઇપ લગાડેલી જોવા મળી હતી. તેમજ D 25 લખેલ નેટવેઇટ 14.2 kg અને ગ્રોસ વેઇટ 30.2 kg હતું જેને સ્થળ પર વજન કાંટામાં ચેક કરતા 25.8 kg જણાઈ આવ્યું હતું. તેમજ બીજા બાટલામાં A 26ના વજન જોતા 14.2kg અને ગ્રોસ વેઇટ જોતા 30.9 kg લખેલું હતું પરંતુ તેને વજન કાંટામાં ચેક કરતા 24 kg હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી12 જેટલા ગેસના બાટલા મળી આવતા હતા જેમાંથી મોટા ભાગના બાટલામાં વજન ઓછું જોવા મળ્યું હતું. જેથી પોલીસે તમામ ગેસની બોટલો સહિત 93,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વાડજ પોલીસે મયુર રાવત અને કાનજી ઉર્ફે બળવંત પરમાર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:11 pm

સુરેન્દ્રનગરમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ માન્ય ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી SOG શાખાના કર્મચારીઓ પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને બાતમી મળી હતી કે મોટીકઠેચી ગામમાં પ્રદીપ બિસ્વાસ નામનો એક વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે, SOG ટીમે નાનીકઠેચીના મેડિકલ ઓફિસર ક્લાસ-2 ડો. હાર્દિકભાઈ બી. રાઠોડને સાથે રાખીને મોટીકઠેચી ગામમાં પ્રદીપ બિસ્વાસના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, આરોપી પ્રદીપ બિનુભાઈ બિસ્વાસ (ઉંમર 36, રહે. મોટીકઠેચી, મૂળ કલકત્તા) મળી આવ્યો હતો. આરોપીના કબજામાંથી અલગ-અલગ કંપનીઓની એલોપેથીક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 8,548.68 રૂપિયા છે. આ દવાઓનો ઉપયોગ તે કોઈપણ માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર માટે કરતો હતો. આ મામલે આરોપી પ્રદીપ બિસ્વાસ વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, HC અમરભા કનુભા ગઢવી, PC કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ, PC અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા અને HC અશ્વિનભાઈ કરશનભાઈ વાઘેલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:10 pm

મોડાસા જેસિસ મિલ્ક કમિટીના 50 વર્ષ પૂર્ણ:સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પંચકૃષ્ણ ભક્ત કથાનું આયોજન

મોડાસા જેસિસ મિલ્ક કમિટીએ તેની સ્થાપનાના 50 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે પાંચ દિવસીય પંચકૃષ્ણ ભક્ત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા મોડાસાના મીની ઊંઝા ઉમિયા માતાજી મંદિરના મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજના મુખેથી કહેવામાં આવી રહી છે. આ કથામાં ભક્ત મહાપ્રભુજી, સંત જલારામબાપા, કવિ નરસિંહ મહેતા, ભક્ત મીરાંબાઈ અને શ્રીજી પ્રભુપાદના જીવનચરિત્રો પર આધારિત પ્રવચનો દ્વારા ભક્તિ, ત્યાગ અને સેવાભાવનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. કથાનો પ્રારંભ જિલ્લાના પાંચ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજસેવાના ભાગરૂપે પાંચ વાલ્મીકિ સમાજની બહેનોનું પૂજન અને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલા શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરાયું હતું. મોડાસા જેસિસ મિલ્ક કમિટીના ચેરમેન નવનીતભાઈ પરીખ, સેક્રેટરી મુકુંદભાઈ શાહ અને પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઈ જોષી સહિતના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત શ્રોતાઓનું સ્વાગત કર્યું હતું અને કથાનો લાભ લેવા અપીલ કરી હતી. કથા દરમિયાન જાયન્ટસ સહિયર ગ્રુપ દ્વારા કથાકાર શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બાલકદાસજી મંદિરેથી જેસિસ હોલ સુધી પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પંચકૃષ્ણ ભક્ત કથામાં વિવિધ ભજન મંડળીઓ, સામાજિક સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાઈ રહ્યા છે, જે મોડાસા જેસિસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:04 pm

પેન્શનર્સની લિંક પર ક્લિક કરતા નિવૃત પ્રોફેસરને 11 લાખનો ચુનો:સાયબર ઠગોએ બેંક ખાતું ખાલી કર્યું, પુરાવા મિટાવવા મોબાઈલ જ ફોર્મેટ કરી દીધો

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય નિવૃત પ્રોફેસર સાયબર ઠગાઈના હાઈટેક ફ્રોડનો શિકાર બન્યા છે. ઠગોએ માત્ર બેંક ખાતામાંથી 11.89 લાખ સેરવી લીધા હતા. બાદમાં પોતાની ઓળખ છુપાવવા માટે રિમોટ એક્સેસ દ્વારા પ્રોફેસરનો મોબાઈલ ફોન પણ ફોર્મેટ કરી નાખતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પેન્શનર્સ કાર્ડની લિંક પર ક્લિક કરતા લાખો ગુમાવ્યાડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતો કેટલી જોખમી હોઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. વડોદરાથી સરગાસણ રહેવા આવેલા નિવૃત પ્રોફેસર ડો. નિલાંબર દેવતાને ઇસ્ટાગ્રામ પર પેન્શનર્સ કાર્ડની લિંક પર ક્લિક કરતા લાખો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે. એકાઉન્ટ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર માગ્યોગાંધીનગરના સરગાસણમાં 'સ્વરા સરગમ' ખાતે રહેતા ડૉ. નિલાંબર દેવતા ગત 24 નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બેંક ઓફ બરોડાના પેન્શનર્સ કાર્ડની જાહેરાત દેખાતા તેમણે તેના પર ક્લિક કર્યું હતું. જેમાં 'મેન્ડેટરી ફોર ઓલ એમ્પ્લોઈઝ' લખેલું હોવાથી તેમણે તેના પર ક્લિક કર્યું હતું. લિંક ખુલતા જ તેમાં એકાઉન્ટ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર માંગવામાં આવ્યો હતો. આ વિગતો ભર્યાના બીજા દિવસે એક અજાણ્યા નંબર એક ફોન આવ્યો હતો. સાયબર ઠગોએ બેંકમાંથી 11.89 લાખ ઉપાડી લીધાબાદમાં સામે રહેલા શખ્સે પોતે બેંક ઓફ બરોડાની અલકાપુરી બ્રાન્ચથી બોલે છે તેમ કહી વિશ્વાસ જીત્યો હતો. તેણે વોટ્સએપ કોલ દ્વારા ડૉ. દેવતાને સ્પીકર ફોન પર રાખી કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા જણાવ્યું હતું. અને પેન્શનર્સ કાર્ડ ઘરે ડિલિવર કરવાનું બહાનું કરી તેમની પાસે પ્રોસેસ કરાવી હતી. જેની થોડી જ વારમાં ડૉ. દેવતાના ખાતામાંથી પ્રથમ રૂ.9,44,160 અને ત્યારબાદ રૂ.2,45,000 ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા. નિવૃત્ત પ્રોફેસરે હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવીહજી તેઓ કંઈ સમજે તે પહેલાં જ ઠગ દ્વારા તેમનો મોબાઈલ ફોન રિમોટલી કંટ્રોલ કરી આખેઆખો ફોર્મેટ કરી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ કોલ હિસ્ટ્રી કે ડેટા બચ્યો ન હતો. જે અંગે પ્રોફેસરે તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. હાલ ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ઇસમો વિરુધ ગુનો નોધી તપાસ કરતા પ્રાથમિક રીતે ઝારખંડનું પગેરુ મળી આવ્યું છે. જે અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:01 pm

રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘે ભરૂચમાં સમીક્ષા બેઠક યોજી:SIR-2026 હેઠળ મતદાર યાદી સુધારણાની કામગીરીની સમીક્ષા

ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR-2026) કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ચૂંટણી આયોગના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘ (IAS), જેઓ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ પણ છે, તેમણે કરી હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીઓ (ERO) તેમજ વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રોલ ઓબ્ઝર્વર દ્વારા SIR-2026 હેઠળ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન મેપિંગ, ડિજિટાઈઝેશન, ફોર્મ કલેક્શન, નો-મેપિંગ નોટિસોની સુનાવણી અને સ્પેશિયલ કેમ્પ અંગેના અદ્યતન રિપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘે તમામ મતદાર નોંધણી અધિકારીઓને સૂચના આપી હતી કે, કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવામાં આવે. આ ઉપરાંત, ઐશ્વર્યા સિંઘે ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ચાલી રહેલી નો-મેપિંગ નોટિસોની સુનાવણી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સુનાવણીમાં હાજર મતદારો અને વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સંવાદ કરીને સમગ્ર પ્રક્રિયાનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો. બેઠક દરમિયાન જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં આવ્યા હતા. વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને હાલ ચાલી રહેલી સુનાવણી બાબતે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમણે બાકી રહેલી નો-મેપિંગ નોટિસોની સુનાવણી ઝડપથી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રને પૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 7:01 pm

પાટડી રીવરફ્રન્ટના લોકાર્પણ સામે કોંગ્રેસનો વિરોધ:વિજિલન્સ કમિશન દ્વારા સંપૂર્ણ તપાસ કરવાની કોંગ્રેસની માગ, માનવ સાંકળ રચી મૌન વિરોધ પ્રદર્શનની ચીમકી

પાટડી નગરપાલિકા દ્વારા નિર્મિત રીવરફ્રન્ટના લોકાર્પણ પ્રસંગે કૉંગ્રેસ પક્ષે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમ સામે કૉંગ્રેસે રીવરફ્રન્ટના કામની ગુણવત્તા અને સરકારી નાણાંના કથિત દુરુપયોગ અંગે સવાલો ઉઠાવ્યા છે. કૉંગ્રેસના મતે, પાટડી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ રીવરફ્રન્ટની કામગીરી ટેન્ડર સ્પેશિફિકેશન અને નિયમો અનુસાર નથી. લોકમુખે ચર્ચા છે કે, કામની ગુણવત્તા અત્યંત હલકી છે અને આ ફક્ત સરકારી નાણાંની ઉચાપત કરવા માટે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પાટડી નગરપાલિકામાં સમાવિષ્ટ નારણપુરા-હિંમતપુરા ગામના લોકોને તેમના મકાનની જમીનના હક્ક માટે K1 નો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. વાસોરિયાવાસ જેવા અનેક વિસ્તારોમાં સામાન્ય લોકો પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને ગંદકી વચ્ચે જીવવા મજબૂર છે. ભૂતકાળમાં આ વિસ્તારના લોકો દ્વારા આંદોલન કરાતા પાટડીના ચીફ ઓફિસર દ્વારા કામગીરી કરવાની બાંહેધરી અપાઈ હતી, પરંતુ વાસ્તવિક રીતે કોઈ કામ થયું નથી. કૉંગ્રેસે આવા ગુણવત્તા વિહીન કામોમાં સરકારી નાણાંનો બગાડ અને 'તાયફાઓ' કરવાને બદલે બાળકો માટે લાઇબ્રેરી અને જાહેર ગ્રાઉન્ડ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે. કૉંગ્રેસે માંગ કરી છે કે, રીવરફ્રન્ટના કામની વિજિલન્સ કમિશન દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ તેનું લોકાર્પણ કરવામાં આવે. જો તપાસ વિના લોકાર્પણ કરાશે, તો કૉંગ્રેસ અને પાટડીના જાગૃત નાગરિકો દ્વારા કચેરી બહાર માનવ સાંકળ રચી ગાંધી ચિંધ્યા માર્ગે મૌન વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:59 pm

રાજ્ય પોલીસમાં ‘વન ડે–વન ડિસ્ટ્રિક્ટ’ ક્રાંતિ:પોલીસ વડા જાતે જિલ્લાની જમીની હકીકતો સાંભળશે, ડાંગથી શરૂઆત

જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત, કાર્યક્ષમ અને લોકકેન્દ્રિત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે “One Day–One District” નામની એક અનોખી અને દુરંદેશી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના પોલીસ વડા દરરોજ એક જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અને સંબંધિત રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ (IGP) સાથે સીધી બેઠક યોજશે. આ બેઠકોનો મુખ્ય હેતુ જિલ્લાની જમીની હકીકતોને પ્રત્યક્ષ રીતે સમજવો અને તે આધારે નીતિગત નિર્ણયો તથા સંસાધનોનું યોગ્ય આયોજન કરવાનું છે. જિલ્લામાં પોલીસિંગને લગતા વિશિષ્ટ પડકારો, જરૂરિયાતો અને સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે અસરકારક ઉકેલો શક્ય બને. જિલ્લાની ભૌગાલિક સ્થિતિ અનુસાર વિવિધ મુદ્દાની ચર્ચા કરાશેબેઠકો દરમિયાન જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ખાસ પ્રકારના વાહનોની જરૂરિયાત, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક અને બિનરહેણાંક માળખાં, માનવ સંસાધનની ઉપલબ્ધતા, પોલીસ સ્ટેશન, આઉટપોસ્ટ અને બીટની રચનામાં જરૂરી ફેરફારો સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. સાથે સાથે, દરેક જિલ્લામાં અમલમાં આવેલી એક શ્રેષ્ઠ પ્રથા (Best Practice) અંગે ચર્ચા કરીને તેને રાજ્યભરમાં અમલમાં મૂકી શકાય તેવા વિકલ્પો પણ તપાસવામાં આવશે. જિલ્લાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા બાદ પોલીસ વડા દ્વારા પોલીસ મુખ્યાલયની સંબંધિત શાખાઓને તાત્કાલિક દિશાનિર્દેશ આપવામાં આવશે. જ્યાં નીતિગત અથવા વહીવટી મંજૂરી જરૂરી હોય ત્યાં ગૃહ વિભાગને યોગ્ય પ્રસ્તાવો મોકલવામાં આવશે, જેથી સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવી શકાય. ડાંગ જિલ્લાની પહેલની શરૂઆત કરવામાં આવી“One Day–One District” પહેલની શરૂઆત ગઈકાલે તા. 07/01/2026ના રોજ ડાંગ–આહવા જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિશિષ્ટ મુદ્દાઓ અને જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવી અને વાહન તથા IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત અનેક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ પણ કરવામાં આવ્યું. આ નવી પહેલથી રાજ્યભરમાં પોલીસ કાર્યક્ષમતા, નિર્ણયક્ષમતા અને જનસેવામાં નોંધપાત્ર સુધારો આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:52 pm

સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોની વધુ એક બેદરકારી:જાતે ચાલી નહીં શકે તેવા દર્દીને ડિસ્ચાર્જ આપી દેવાયો, યોગ્ય સારવાર આપવાને બદલે સિવિલમાં લઇ જવાનું કહેવાયું હોવાનો સગાઓનો આક્ષેપ

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોની ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. શારીરિક રીતે અશક્તિ ધરાવતા અને જાતે ચાલી પણ નહિ શકે તેવી સ્થિતિમાં આવેલા એક દર્દીને કેઝ્યુલીટી વિભાગમાં પ્રાથમિક અને દેખાડવા પુરતી સારવાર આપ્યા બાદ ડોકટરો દ્વારા ડીસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું. આ દર્દી જાતે ચાલી નહિ સકતો હતો તેમ છતાં ડોકટરોએ તેને કેવી રીતે ડીસ્ચાર્જ આપી દીધો હતો. આ સાથે દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જાવ તેવું તબીબો દ્વારા કહેવામાં આવ્યું હોવાનો સગાઓએ આક્ષેપ કર્યો હતો. જ્યારે હાજર તબીબોએ પણ દર્દીને ડિસ્ચાર્જ આપી દીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી તબીબોની સામે પ્રશ્નો ઉઠવા પામ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ઉમરવાડા ખાતે આવેલ રાજુનગરમાં રહેતા આશરે 30 વર્ષીય સવલો હમીર કટારાને શારીરિક રીતે અશક્તિ અને ચક્કર આવતા હોવાથી પિતરાઈભાઈ સહીત સગાઓ આજે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા.ત્યાર બાદ દર્દીને કેઝ્યુલિટી વિભાગમાં લઇ જવાંમાં આવ્યો હતો. જ્યા ડોકટરો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી,જોકે બાદ અચાનક આ દર્દી કેઝ્યુલીટીની બહાર આવેલ અમુલ પર્લર સામે પડેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે તેની સાથે હાજર સગાને પૂછવામાં આવતા તેઓએ ડોકટરો સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમારા દર્દીને ડોકટરો દ્વારા ફક્ત ગ્લુકોઝનો બાટલો ચઢાવવામા આવ્યો હતો અને બાદમા ડોકટરોએ કહ્યું કે અહીંથી લઇ જાવો,તેથી અમે તેને ઈમરજન્સી વિભાગમાંથી બહાર લઇ આવ્યા હતા. અમને કઈ સમજાતું ન હતું શું કરીએ ક્યાં લઇ જવું,અમને તેની યોગ્ય સારવાર કરાવવી હતી પણ ડોકટરો કહેવા લાગ્યા કે બહાર લઇ જાવો અથવા તો સિવિલમાં લઇ જાવો. સિવિલ બાબતે અમને કઈ ખબર નથી. સમજ નથી પડતી કે ક્યાં લઇ જઈએ. બીજી તરફ આ રીતે ડોકટરો દવારા કેઝ્યુલીટી વિભાગમાંથી દર્દીને ડિસ્ચાર્જ આપ્યું હોવાનું કહીને બહાર મોકલી આપવામાં આવતા દર્દી કેઝ્યુલિટીની બહાર બહુ જ દયનિય હાલતમાં જોવા મળ્યો હતો, ત્યારે એવા પશ્નો ઉઠવા પામ્યા હતા કે ડોકટરોએ કેવી સારવાર આપી,દ ર્દી જાતે ચાલી પણ નહીં શકતો અને છતાં તેંને રજા આપી દીધી. ડોકટરોની અંદર જરા પણ માનવતા નથી કે તેને દાખલ કરીને અથવા થોડો સ્ટેબલ થાય સુધી સારવાર આપવામાં આવે. અમને સ્ટ્રેચર પણ નહીં આપી, ઉંચકીને બહાર લાવ્યા દર્દીના સગા ભીમાભાઈએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમને ઈમરજન્સી વિભાગમાંથી બહાર લાવવા માટે લારી ( સ્ટ્રેચર ) પણ નહીં આપી હતી. લારી લેવા ગયા તો એવું કહ્યું કે અહીં નહિ મળે. ત્યારે અમે દર્દીને જાતે જ ઉંચકીને બહાર લઇ ગયા હતા.અમને અહીં સારવાર કરાવવાની હતી પણ ડોક્ટરોએ લઇ જવાનું કીધું એટલે બહાર લઇ આવ્યા હતા,હવે ક્યાં જવાનું, શું કરવું તે બાબતે અમને કઈ સમજ નથી પડતી. તબીબની દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હોવાની કબૂલાત દર્દી અંગે જ્યારે ઓન ડ્યુટી સીએમઓ ( કેઝ્યુલિટી મેડિકલ ઓફિસર ) સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ દર્દીને અશક્તિ હતી અને ચક્કર આવતા હતા. તેને પાઈન્ટ ચઢાવવામાં આવી હતી અને મેડિસિન વિભાગમાં રેફર કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને ડિસ્ચર્જ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:51 pm

NHRCના હસ્તક્ષેપથી ન્યાયનો ઉદય:SC વિધવા મહિલાને 4 વર્ષ બાદ મળ્યું 50 લાખનું બાકી પેન્શન; માનવીય સંવેદના અને બંધારણીય હકોનો વિજય

સરકારી તંત્રની ઉદાસીનતા અને વહીવટી વિલંબ સામે જ્યારે માનવીય સંવેદના અને બંધારણીય હકોનો વિજય થાય છે, ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક ઠરે છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના જશવંતગઢ (ચિતલ)ના વતની જયાબેન પરમારના જીવનમાં પ્રકાશ લઈને આવ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), દિલ્હીની કડક કાર્યવાહી બાદ, અનુસૂચિત જાતિના આ વિધવા મહિલાને 4 વર્ષથી અટવાયેલું 50,00,000 (પચાસ લાખ) રૂપિયાનું બાકી પેન્શન અને માસિક 44,000 રૂપિયાનું નિયમિત પેન્શન મંજૂર કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના આહવા ખાતે સરકારી હોસ્પિટલમાં મુખ્ય ફાર્માસિસ્ટ તરીકે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કાનજીભાઈ ગોદડભાઈ પરમાર 30/06/2019 ના રોજ નિવૃત થયા હતા. નિવૃત્તિ બાદ વહીવટી ગૂંચવણોને કારણે તેમનું પેન્શન શરૂ થયું ન હતું અને આ માનસિક મથામણ વચ્ચે જ 26/04/2021 ના રોજ તેમનું નિધન થયું. પતિના મૃત્યુ બાદ તેમની પત્ની જયાબેન પરમાર પેન્શનના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાતા રહ્યા, પરંતુ તંત્ર દ્વારા વારંવાર 'ક્વેરી' કાઢીને તેમને ન્યાયથી વંચિત રાખવામાં આવ્યા હતા. અંતે, પીડિત પરિવારે અમદાવાદના જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની મદદ લીધી. તેમણે આ કેસનો ઊંડો અભ્યાસ કરી 17/04/2023 ના રોજ બંધારણના આર્ટિકલ-21 (ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર) હેઠળ NHRCમાં ફરિયાદ દાખલ કરી. આયોગે આ બાબતને ગંભીરતાથી લઈ તંત્રને નોટિસ ફટકારી અને 4 અઠવાડિયામાં અહેવાલ માંગ્યો હતો. આયોગના દબાણ અને કલેક્ટર કચેરીની સક્રિયતાને કારણે પેન્શન વિભાગે સુધારેલા ROP-2016 મુજબ કેસ મંજૂર કર્યો. વર્ષોથી કચેરીઓમાં ભટકતા પરિવારને અંતે આર્થિક સુરક્ષા અને સામાજિક સન્માન મળ્યું છે. આ કિસ્સો સાબિત કરે છે કે જો જાગૃત નાગરિક અને સક્ષમ સંસ્થા સાથે મળીને લડે, તો ગમે તેવા જટિલ સરકારી અવરોધોને પાર કરી શકાય છે. આ માત્ર એક પેન્શનની મંજૂરી નથી, પરંતુ માનવ અધિકારો અને બંધારણીય મૂલ્યોની ભવ્ય જીત છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:37 pm

રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા:મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળ્યાં; ગુજરાતમાં પ્રથમ ઘટના

નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધરમેશ્વર મહાદેવ મંદિર અત્યારે ભારે ચર્ચામાં છે. મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. શું છે સમગ્ર ઘટના?મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે મંદિરના એક જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે. આ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીગ્નેશ સોની અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન વન વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી. સર્ચ ઓપરેશનમાં 37 આખા વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા, 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. અવશેષો 35 વર્ષ જૂના હોવાની શક્યતાવન વિભાગની પ્રાથમિક તપાસ મુજબ, આ ચામડા અને નખ આશરે 35 વર્ષથી વધુ સમયથી આ જગ્યા પર હોવાનું અનુમાન છે. જોકે, આ વસ્તુઓ અસલી છે કે કેમ તેની ખાતરી કરવા માટે વન વિભાગે નમૂનાઓ FSLમાં મોકલી આપ્યા છે. મૃતક મહારાજની સંડોવણી અંગે તપાસમંદિરમાં રહેતા મહારાજ, જેઓ મૂળ મધ્યપ્રદેશના હોવાનું કહેવાય છે, તેમનું ગત 7 જુલાઈ, 2025 ના રોજ નિધન થયું છે. આ તમામ વાઘના નખ અને ચામડા તે જ રૂમમાંથી મળી આવ્યા છે જ્યાં મહારાજ રહેતા હતા. વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે નિધન થયેલા મહારાજ કોના કોના સંપર્કમાં હતા? આટલો મોટો જથ્થો અહીં ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો? શું આ આંતરરાજ્ય તસ્કરીનું કોઈ મોટું નેટવર્ક છે? તપાસમાં મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતાવન વિભાગે આ મામલે ફોરેસ્ટ અધિનિયમ (તસ્કરી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસમાં આગામી દિવસોમાં ઘણા મોટા માથા ઓના નામ બહાર આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:35 pm

અમરેલીમાં સિંહણને અડફેટે લેનાર વાહન ચાલક ઝડપાયો:CCTVના આધારે તપાસ કરી વન વિભાગે અમદાવાદના સ્વીફ્ટ ચાલકની ધરપકડ કરી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક 4 જાન્યુઆરીના રોજ એક સિંહણનું અજાણ્યા વાહન અડફેટે મોત થયું હતું. આ કેસમાં વન વિભાગે અમદાવાદના સ્વીફ્ટ કાર ચાલક રવિ કનુભાઈ ભરવાડની ધરપકડ કરી છે. CCTV ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં સિંહણનું મોત પૂરપાટ ઝડપે આવતા વાહનની ટક્કરથી થયેલું જણાયું હતું. શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમોએ તપાસ શરૂ કરી હતી. વન વિભાગની ટીમોએ ઉનાથી ભાવનગર સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજમાં એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર (નંબર GJ27AP 7798) જોવા મળી હતી. આ નંબરના આધારે તપાસ અમદાવાદ સુધી પહોંચી હતી. અમદાવાદ પોલીસની મદદથી વન વિભાગે કાર ચાલક રવિ કનુભાઈ ભરવાડને શોધી કાઢ્યો હતો. પૂછપરછ દરમિયાન રવિભાઈ ભરવાડે સિંહણને હડફેટે લીધાની કબૂલાત કરી હતી. વન વિભાગે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ACF વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજુલા-ઉના કોસ્ટલ હાઈવે પર સિંહોના ક્રોસિંગની ઘટનાઓ બનતી રહે છે. તેમણે વાહન ચાલકોને તકેદારીપૂર્વક વાહન ચલાવવા અને વન્ય સંપત્તિને નુકસાન ન થાય તે માટે અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:33 pm

પરીક્ષા ફોર્મ ભર્યું ને કોલેજનું ભોપાળું ખૂલ્યું,VIDEO:ખંડણીખોરને તો જેલમાં પણ લીલા લહેર, એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-4 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:28 pm

PM મોદીની મુલાકાતને લઈને અમદાવાદ નો ડ્રોન ફ્લાય ઝોન:ઉત્તરાયણને લઈને પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

પીએમ મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા કારણોસર અમદાવાદમાં 11 અને 12 જાન્યુઆરી એમ 2 દિવસ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આદેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ઉત્તરાયણ માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેનો અમલ કરવાનો રહેશે. ઉત્તરાયણને લઈને પ્રસિદ્ધ કરવામાં આવેલું જાહેરનામું - કોઈપણ વ્યક્તિએ જીવનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ પર તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકાશે નહીં. - સામાન્ય નાગરિકોને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. - સામાન્ય નાગરિકોની લાગણી દુબઈ તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવી શકાશે નહીં. - ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરી લેવા માટે હાથમાં કોઈપણ વસ્તુ વડે પતંગ લેવા દોડાદોડી કરી શકાશે નહીં. - શોર્ટ સર્કિટ થવાની સંભાવના હોય તેવા તાર પર કે લોખંડના કોઈ પણ ધાતુ પર દોરી કે પતંગ કાઢવા કે નાખવા નહીં. - જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા અને સામાન્ય નાગરિકોએ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પ્રતિબંધ છે. - પ્લાસ્ટિક,સિન્થેટિક, ટોક્સિક મટીરીયલ પાવડર અને અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરીને દોરી પર પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ છે. - ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ દોરીના ઉત્પાદન,ખરીદ,વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. - ઓનલાઇન પ્લેટફોર્મ મારતો ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી કે ચાઇનીઝ તુક્કલ ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ BNS ની કલમ 223 અને GP એક્ટ 113,117,131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:22 pm

વડોદરા જિલ્લામાં 26મી જાન્યુઆરીની શાનદાર ઉજવણી થશે:વાઘોડિયાના ટીંબી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ; તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ

ભારત દેશના આગામી 77મા પ્રજાસત્તાક પર્વની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે વાઘોડિયા તાલુકાના ટીંબી સ્થિત તાલુકા સેવા સદન ખાતે અત્યંત ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વના આયોજનના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર અનીલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તૈયારીઓનો ધમધમાટ: બેઠક દરમિયાન કલેક્ટર અનીલ ધામેલિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પર્વની ગરિમા જળવાય તે રીતે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધી સોંપાયેલી કામગીરી સમયસર પૂર્ણ કરવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેની કામગીરીનું સીધું માર્ગદર્શન કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ: આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોના સન્માન કાર્યક્રમ અંગે જરૂરી વ્યવસ્થાપન કરવા સૂચના આપી હતી. જ્યારે પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે સુરક્ષા વ્યવસ્થા, પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે વિગતો રજૂ કરી હતી. રીહર્સલનું આયોજન: ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરીના મુખ્ય કાર્યક્રમ પૂર્વે આગામી 24 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 09:00 કલાકે ટીંબી ખાતે ફાઈનલ રીહર્સલ યોજાશે. સમગ્ર વહીવટી તંત્ર હાલ આ ઉજવણીને યાદગાર બનાવવા માટે કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:19 pm

બર્ડ ફ્લૂના જોખમ સામે તકેદારી માટે રજૂઆત:વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને ગાઈડલાઈન આપવા માંગ કરી

પાટણ જિલ્લામાં બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે નાયબ પશુપાલન નિયામકને લેખિત રજૂઆત કરી છે. તેમણે પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સાવધ કરવા અને જરૂરી ગાઈડલાઈન આપવા માંગ કરી છે. રાજ્યમાં શિયાળાની ઠંડી વધતા બર્ડ ફ્લૂનો રોગ વધુ ફેલાવવાની શક્યતાઓ છે. આ અંગે સરકારે પણ તકેદારી રાખવા માટે સૂચનાઓ અને ગાઈડલાઈન બહાર પાડી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જિલ્લામાં કાર્યરત પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને બર્ડ ફ્લૂના જોખમ વિશે માહિતગાર કરવા જોઈએ. તેમને વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી તકેદારીના પગલાં લેવા અને સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવી જોઈએ. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલ્ટ્રી ફાર્મની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને મોટા પાયે મરઘાપાલન થઈ રહ્યું છે. આવા કેન્દ્રોમાં બર્ડ ફ્લૂના કેસો ન બને અને આ વાયરસ માનવ શરીરમાં ન ફેલાય તે સુનિશ્ચિત કરવું અત્યંત અનિવાર્ય છે. જિલ્લામાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં, ભવિષ્યમાં કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને ગાઈડલાઈનથી વાકેફ કરી સાવચેતીના પગલાં લેવા ભલામણ કરાઈ છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:18 pm

માળીયા પાસે ટ્રક અડફેટે યુવાનનું મોત:ગાંધીધામથી જામનગર જઈ રહેલા યુવકનું ચાંચાવદરડા નજીક મૃત્યુ, ખાનગી બેંકમાં જોબ કરતો

માળીયા (મી) તાલુકાના ચાંચાવદરડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં ૨૩ વર્ષીય યુવાનનું મોત થયું છે. ગાંધીધામથી જામનગર પોતાના વતન પરત ફરી રહેલા આ યુવાનના બાઇકને ટ્રકે હડફેટે લેતા આ દુર્ઘટના બની હતી. મૃતક યુવાન દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા (૨૩) જામનગરના માટેલ ચોક પાસે રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતો હતો. તે ગાંધીધામ ખાતે એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. માળીયા-જામનગર હાઇવે પર ચાંચાવદરડા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વળાંકમાં ટ્રક નંબર GJ 10 TY 0063 ના ચાલકે તેના બાઇક નંબર GJ 10 DP 0298 ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દુષ્યંતસિંહને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા હેમેન્દ્રસિંહ ભીખુભા જાડેજા (૫૭)એ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક દુષ્યંતસિંહના દસેક મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે ગાંધીધામથી પોતાના ઘરે જામનગર પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:17 pm

લાંચ કેસમાં એમ.એમ.પટેલ કોલેજનો વોચમેન રિમાન્ડ પર:નિવૃત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના લાભોની ફાઇલ ઉપર સહી કરવા ટ્રસ્ટીએ 5 લાખની લાંચ માંગી હતી

અમદાવાદના ACB પોલીસ મથકે ગુલબાઈ ટેકરા ખાતે આવેલી એમ.એમ.પટેલ કોલેજના ટ્રસ્ટી તિમિર અમીન અને વોચમેન મુરલી મનોહર ઝંડોલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ કોલેજના નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પેન્શન સહિતના લાભો મેળવવાની ફાઈલ ઉપર ટ્રસ્ટીના સહીની જરૂર હતી. જે માટે ટ્રસ્ટી તિમિર અમીને ફરિયાદી પાસેથી 5 લાખની લાંચ માંગી હતી. જેમાંથી 2 લાખ રૂપિયા તેણે અગાઉથી જ મેળવી લીધા હતા. જ્યારે બાકીના 3 લાખ રૂપિયા વોચમેન મુરલી મનોહર ઝંડોલને આપવા જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી બાકીની લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓ એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવતા આરોપી મુરલી મનોહર ઝંડોલ 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી એવા ટ્રસ્ટી તિમિર અમીન ફરાર થઈ ગયા છે. લાંચ સ્વીકારનાર વોચમેનના 1 દિવસના રિમાન્ડ મંજૂરACB ની ઉપરોક્ત ફરિયાદ સંદર્ભે આરોપી મુરલી મનોહર ઝંડોલને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જ્યારે મુરલી મનોહર ઝંડોલ વતી વકીલ પાર્થવીર ચારણે રિમાન્ડનો વિરોધ કરતા સીટી સેશન્સ કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ ACBને આપ્યા હતા. ACB રીમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે આ ગુનામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તે જાણવાનું છે. ગાંધીનગર FSL ખાતે આરોપીના સ્ટેટમેન્ટનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું છે. ઘટના અંગે બંને આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતને જાણવા માટે આરોપીની કસ્ટડીની જરૂરિયાત છે. અગાઉ નિવૃત્ત થયેલા લોકો પાસેથી આરોપીઓએ લાંચ લીધી હતી કે કેમ તે જાણવાનું છે. મુખ્ય આરોપી ભાગેડુ છે. ત્યારે તેને ઝડપી લેવા માટે પણ વર્તમાન આરોપીની કસ્ટડીની જરૂરિયાત છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:14 pm

માંડવીમાં મકરસંક્રાંતિ પૂર્વે દ્વિચક્રીય વાહનોને સુરક્ષા કવચ:ભાજપના કાર્યકરો અને પોલીસે પતંગની દોરીથી બચવા સેફ્ટી ગાર્ડ લગાવ્યા

માંડવી શહેરમાં મકરસંક્રાંતિના પાવન પર્વ અને ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. માંડવી શહેર ભાજપના વોર્ડ નંબર ચાર દ્વારા દાદાની ડેરી ખાતે દ્વિચક્રીય વાહનચાલકો માટે નિ:શુલ્ક સુરક્ષા કવચ (સેફ્ટી ગાર્ડ) લગાવવામાં આવ્યા હતા. આ સુરક્ષા કવચનો મુખ્ય ઉદ્દેશ્ય પતંગની પાકી દોરીથી થતી ઈજાઓથી વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. આ કાર્યક્રમ માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી અને કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરના સહયોગથી યોજાયો હતો. માંડવી પીઆઈ બારોટ સાહેબ અને અન્ય પોલીસ મિત્રો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શહેરીજનોની સુખાકારી અને સલામતી માટેના આ સેવાકીય કાર્યક્રમમાં માંડવી શહેર ભાજપ મહામંત્રી કિશનસિંહ જાડેજા, નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પારસ માલમ, શહેર ભાજપ ઉપપ્રમુખ નરેન સોની, ખજાનચી પ્રવિણ ગોર સહિત અનેક ભાજપ કાર્યકરો અને પોલીસ અધિકારીઓ સહભાગી થયા હતા. તેમાં શંકર જુવડ, શક્તિસિંહ ઝાલા, હિતેશ મહેતા, જગદીશ જોષી, રૂપેશ સોની, હિંમતસિંહ રાઠોડ, કાંતિ પટ્ટણી, હિતેશ શાહ, હરીશ માંગલીયા, શૈલેષ જોષી, રાજા કોલી, મહેશ ગોસ્વામી, દેવિયાન ગઢવી, પ્રતિક શાહ, હરપાલસિંહ જાડેજા, સાવનસિંહ રાઠોડ, રામ ગઢવી, કિરણ ચૌધરી, સુરૂભા જાડેજા, દેવા આહીર, હિરજી માતંગ અને આનંદ ધોડકીયા જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:12 pm

તને પોલેન્ડ લઈ જઈશ કહી લગ્ન કર્યા ને યુવતીને છેતરી:સિંગણપોરમાં પરિણીતા પાસેથી સાસરિયાઓએ પગાર પડાવી પિયરેથી વધુ કરિયાવર લાવવા માનસિક-શારીરિક ત્રાસ આપ્યાના આક્ષેપ

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણી મુદ્દે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ વિદેશ લઈ જવાના બહાને પરિણીતા સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન બાદ સાસરિયાઓએ પિયરેથી વધુ કરિયાવર લાવવા દબાણ કર્યુંમહિલા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, સિંગણપોર રોડ પર આવેલા શિવદર્શન રો હાઉસમાં રહેતા કર્તવ્ય સુમનભાઈ ઉનાગર સાથે પીડિતાના લગ્ન ડિસેમ્બર 2023માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ પતિ કર્તવ્ય, સાસુ ભાવનાબેન, સસરા સુમનભાઈ તેમજ કાકા-કાકી સાસુએ પરિણીતાને પિયરેથી વધુ કરીયાવર લાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પોલેન્ડ લઈ જવાના બહાને છેતરપિંડીફરિયાદમાં જણાવ્યા અનુસાર, પતિ કર્તવ્યએ લગ્ન સમયે પત્નીને પોતાની સાથે પોલેન્ડ લઈ જવાની વાત કરી હતી. જોકે, લગ્ન બાદ તેને સાથે લઈ જવાને બદલે તે પોતે પોલેન્ડ જતો રહ્યો હતો. આટલું જ નહીં, પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો પતિ ત્યાં અન્ય સ્ત્રી સાથે સંબંધો ધરાવે છે. ઘરે હાજર સાસરિયાઓ પણ પરિણીતાનો પગાર પડાવી લેતા હતા અને તેને સતત માનસિક ત્રાસ આપતા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીપોતાની સાથે થયેલા અન્યાય સામે લડત આપતા પરિણીતાએ અંતે મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે પતિ કર્તવ્ય ઉનાગર સહિત સાસરિયાઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પતિ પોલેન્ડ હોવાથી પોલીસ તેને કાયદાના સકંજામાં લેવા માટે જરૂરી કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:12 pm

વડોદરામાં 'વડોપેક્ષ-2026' નો પ્રારંભ:અકોટા અતિથિ ગૃહ ખાતે જામશે અલભ્ય ટપાલ ટિકિટોનો મેળો

ભારતીય ટપાલ વિભાગ દ્વારા વડોદરાના આંગણે આગામી 09-01-2026 થી 10-01-2026 દરમિયાન જિલ્લા કક્ષાના ટપાલ ટિકિટ પ્રદર્શન ‘વડોપેક્ષ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અકોટા અતિથિ ગૃહ ખાતે યોજાનારા આ બે દિવસીય પ્રદર્શનનો પ્રારંભ સવારે 10 કલાકે થશે, જેમાં વડોદરા જિલ્લાના અગ્રણી સંગ્રાહકો દ્વારા ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત કરતી અમૂલ્ય ટપાલ ટિકિટો રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર ઉપસ્થિત રહેશે. સાથે જ વડોદરા રીજનના પોસ્ટમાસ્ટર જનરલ દિનેશ કુમાર શર્મા અને PTC વડોદરાના ડિરેક્ટર ડૉ. એસ. શિવારામ પણ ગરિમામય હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન ખાસ ‘સ્પેશિયલ કવર’ લોન્ચ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે પત્ર લેખન અને સેમિનાર જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે નોંધનીય છે કે, પર્યાવરણ, મહાન વિભૂતિઓ અને ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત દુર્લભ સંગ્રહ છે, ટપાલ ટિકિટો માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ તે ઇતિહાસનો દસ્તાવેજ છે. વડોદરા ઈસ્ટ ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ દ્વારા શહેરના તમામ નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આ જ્ઞાનવર્ધક પ્રદર્શન નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Jan 2026 6:10 pm