SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

કિસાન સંઘની ચીમકી:આંદોલન દરમિયાન જે પરિસ્થિતિ નિર્માણ થશે તેની જવાબદારી વહીવટી તંત્રની :

દિવાળી પહેલાથી ખેડૂતો દ્વારા જેનો વિરોધ થઈ રહ્યો છે તે અદાણી કંપની દ્વારા ખાવડા થી હડદડ વીજ ટ્રાન્સમિશન લાઈનનું કામ ખેડૂતોના માલીકીના ખેતરોમાંથી વીજ પોલ નાખવાનુ કામ ચાલુ છે. ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વગર પોલીસને સાથે રાખીને ખેડૂતોને અને તેમની બહેન દિકરીઓ ઉપર લોકશાહીને ન શોભે તેવો અત્યાચાર થઈ રહયો છે તેવા આક્ષેપ સાથે કિસાન સંઘ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કિસાનોએ કરેલી રજૂઆત મુજબ કલેકટરના હુકમને આગળ ધરીને કંપની દ્વારા દાદાગીરી થઈ રહી છે. જિલ્લા સમાહર્તા દ્વારા એવો તો કેવો હુકમ કરી આપેલ છે અમને ખબર નથી પડતી. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન હટાવો કારણ કે હવે ખેડૂતોમાં ખુબ રોષ છે. જેના કારણે ન છુટકે અમારા સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડે છે. આ આંદોલન દરમિયાન કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે તો તેની જવાબદારી વહીવટી તંત્ર અને સરકારની રહેશે તેવી ચીમકી ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના ખેડૂતો ખેતરોમાં દોઢ મહિનાથી પંડાલ લગાવીને અદાણી કંપની સામે ધારણા કરી રહ્યા છે. કિસાનો યોગ્ય વળતરની માગ કરી રહ્યા છે તેની સામે કંપની પોલીસને સાથે રાખીને ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે તેવા આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર પ્રકરણના પડઘા રાજ્યમાં પડ્યા હોય તેમ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં આક્રોશ છે. જિલ્લા સમાહર્તાને રજૂઆત કરતી વખતે કિસાન સંઘ જિલ્લા પ્રમુખ કરમણ ગાગલ, લડત સમિતિના પ્રમુખ શિવજી બરાડિયા, જળ આયામ પ્રમુખ ભીમજી કેસરીયા, ઉપપ્રમુખ પુરષોત્તમ પોકાર, કિશોર વાસાણી, રામજી ડાંગર, પ્રેમજી લાખાણી જોડાયા હતા. પુરષોત્તમ પોકાર, કિશોર વાસાણી, રામજી ડાંગર, પ્રેમજી લાખાણી જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:26 am

108ના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી:અકસ્માતમાં ઈજાગ્રસ્તનો કિંમતી સામાન 108 સ્ટાફ દ્વારા પરત અપાયો

ભુજ-ભચાઉ હાઈવે પર કનૈયાબે અને ધાણેટી વચ્ચે બે બાઈક ભટકાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માતના બનાવમાં ઘવાયેલા માધાપરના યુવક પાસે રોકડ અને સોનાના દાગીના હતા જે સ્થળ પર પહોચેલ 108 ના સ્ટાફ દ્વારા સહીસલામત તેમના પરિવારજનોને સોપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં કનૈયાબે અને ધાણેટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બે બાઈક ભટકાતા માધાપર જુનાવાસમાં રહેતા વિમલભાઈ ગુસાઈ અને ભુજના જયનગરમાં રહેતા બે લોકોને ઈજા પહોચી હતી. અકસ્માત થતા દિનેશકુમારે 108 ને જાણ કરી હતી જેથી તાત્કાલિક ધાણેટી 108 એમ્બ્યુલન્સ સ્ટાફના ઈએમટી સચિન ઠાકોર અને પાયલોટ સવાભાઈ રબારી સ્થળ પર પહોચ્યા હતા.ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયેલા હોવાથી સ્થળ પર જરૂરી સારવાર કર્યા બાદ તેમને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઈજા પામેલા માધાપરના વિમલભાઈ ગુસાઈ પાસે એક સ્માર્ટ મોબાઈલ,સોનાનો દોરો,સોનાની વીંટી અને રોકડ રૂપિયા 5 થી 6 હજારનો મુદ્દામાલ હતો.108 ના સ્ટાફે ઘાયલ યુવાનનો કિંમતી મુદ્દામાલ હોસ્પિટલ પહોચેલા તેના પરિવારજનોને સહીસલામત રીતે સોપતા ટીમનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:24 am

આરોપી પોલીસના સકંજામાં:ગૌહત્યાના ગુનામાં ફરાર નાના દિનારાનો શખ્સ પકડાયો

ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌહત્યાના ગુનામાં ફરાર નાના દિનારાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ આરોપી નાના દિનારા અલૈયાવાંઢનો 27 વર્ષીય ઈલીયાસ રમજાન સમા આ ગુનામાં ફરાર હતો અને તે કાળા ડુંગર સીમમાં હાજર હોવાની બાતમી આધારે એલસીબી દ્વારા તપાસ કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેને ખાવડા પોલીસના હવાલે કરાયો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:23 am

વૃદ્ધને માર માર્યો:મોખાણાના વૃદ્ધને ટ્રકનો વિડીયો ઉતારવાના વહેમે માર મરાયો

કનૈયાબેમાં મોખાણા ગામના વૃદ્ધને હથોડીથી માર માર્યો હતો.જ્યારે માંડવી તાલુકાના જામથડા ગામની સીમમાં જાતી અપમાનિત કરી માર મારનાર બે આરોપી સામે ગુનો નોધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ત્રિકમભાઈ હધુભાઈ ખીમાભાઈ ઢીલાએ પદ્ધર પોલીસ મથકે મોખાણા ગામના આરોપી ભરત વેલજી અરજણ ઢીલા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 14 નવેમ્બરના સવારે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી ભુજ જવા માટે કનૈયાબે ગામના બસ સ્ટેન્ડ પર ઉભા હતા અને ફોનમાં વાત કરતા હતા.એ દરમિયાન આરોપી પોતાની ટ્રક લઈને ત્યાંથી નીકળ્યો હતો. ત્યારે ફરિયાદી પોતાની ટ્રકનો વિડીયો ઉતારતા હોવાનું વહેમ રાખી ભૂંડી ગાળો બોલી અહ્તી અને હાથથી માર માર્યા બાદ ટ્રકમાંથી હથોડી લઇ આવી ફરિયાદીને પીઠના ભાગે ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે બીજી તરફ જામથડાના ફરિયાદી કિશનભાઈ અશોકભાઈ સંજોટે ગઢશીશા પોલીસ મથકે આરોપી કપિલ પરેશદાન ગઢવી અને લખાણ પરેશદાન ગઢવી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ સોમવારે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં મુરીબેન ધોળુના ખેતરમાં ચાલતા એનટીપીસી કંપનીની પવનચક્કીના કામ માટે ગૌચર જમીનમાંથી પસાર થતા રસ્તા મામલે ગ્રામ પંચાયતની મંજુરી લીધેલી ન હતી.જેથી ફરિયાદી કામ રોકાવવા માટે ગયા હતા.એ દરમિયાન આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને માર મારી જાતી અપમાનિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:22 am

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન:સંશોધનના દ્વાર ખોલવા 19 થી 21 નવેમ્બર સુધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ

કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ દ્વારા ઈન્ડિયન ઈકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિએશન (IEASA) તથા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ સાથેના સહયોગથી 19 થી 21 નવેમ્બર દરમિયાન 6મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભુજમાં આયોજન કરાયું છે. યુનિવર્સિટીના કુલપતિ અને IEASA પ્રમુખ ડો. મોહન પટેલે જણાવ્યું કે, આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના પ્રખર શિક્ષણવિદો, નીતિ-નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સંશોધકો જોડાશે. કાર્યક્રમમાં કી-નોટ લેકચર્સ, પેનલ ચર્ચા, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન તેમજ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સેશનનો સમાવેશ કરાયો છે.કોન્ફરન્સમાંથી મળતા સૂચનોના આધાર પર એક નિતી પત્ર તૈયાર કરીને સરકારને પાઠવવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન ACT દ્વારા સસ્ટેઇનેબલ વોટર મેનેજમેન્ટ પર પેરલલ ટેકનિકલ સેશન યોજાશે. યુનિવર્સિટીમાં રીસર્ચ મહત્વનુ છે અને આવા કાર્યક્રમો થકી રીસર્ચ માટેના નવા દ્વાર ખુલી રહ્યા છે. કોન્ફરન્સ કન્વીનર પ્રોફેસર વિજય વ્યાસે જણાવ્યું કે, ઉદ્ઘાટન સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવશે.ચીફ ગેસ્ટ તરીકે દીનદયાળ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંહ હાજર રહેશે. ગેસ્ટ ઓફ ઓનર તરીકે અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના સીઇઓ રોબિન ભૌમિક અને ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી, બિલાસપુરના વાઈસ-ચાન્સેલર પ્રોફેસર આલોકકુમાર ચક્રવાલ ઉપસ્થિત રહેશે.કોન્ફરન્સ પ્રેસિડેન્શિયલ એડ્રેસ પ્રોફેસર તુષાર શાહ દ્વારા આપવામાં આવશે. અન્ય મહેમાનોમાં IEASA ફાઉન્ડર પ્રમુખ અને પેટ્રન ડૉ. ગિરિરાજસિંહ રાણા, પ્રોફેસર સંજય પાસવાનનો સમાવેશ થાય છે. વેલેડિક્ટરી સેશનમાં ઉચ્ચ શિક્ષણના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ મહેમાન તરીકે દીપક વોરા, સમાપન સત્રના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અદાણી સ્કિલ ફાઉન્ડેશન એક્ઝિક્યુટિવ ડીરેક્ટર વસંત ગઢવી અને અદાણી હેલ્થકેરના હેડ પંકજ દોશી ઉપસ્થિત રહેશે. IEASA સેક્રેટરી પ્રોફેસર અલોક કુમારે વિકસિત ભારત @ 2047 થીમ હેઠળ નક્કી કરાયેલા 10 ટેકનિકલ સેશનોની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં કુલ 127 રિસર્ચ પેપર રજૂ થશે.પાંચ પુસ્તકોનું વિમોચન થશે.જ્યારે 4 જર્નલ રિલીઝ કરવામાં આવશે.કાર્યક્રમ પૂર્વે યોજાયેલ તાલીમમાં વિદ્યાર્થીઓને રિસર્ચ પેપર લખવા બાબતે સમજ અપાઈ હતી આ કોન્ફરન્સના રિપોર્ટ તૈયાર કરનાર 3 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવશે.કચ્છ યુનિવર્સિટીના 70 પીએચડી વિદ્યાર્થીઓ સહિત અન્ય વિસ્તારમાંથી પણ લાભાર્થીઓ આવશે. રજિસ્ટ્રાર ડૉ. અનિલ ગોરે જણાવ્યું કે, આ કોન્ફરન્સ ગહન ચર્ચાઓ, નિષ્ણાતોના માર્ગદર્શન અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ તરફ અર્થપૂર્ણ યોગદાન આપશે.જ્યારે શિક્ષણ ક્ષેત્ર ઉદ્યોગ અને સમાજ સાથે ચાલે ત્યારે વિકાસ શક્યતા નહીં, પરંતુ નિશ્ચિતતા બની જાય છે.કાર્યક્રમના ડેપ્યુટી કન્વીનર ડૉ. કનિષ્ક શાહ, આસિસ્ટન્ટ કન્વીનર ડૉ. શીતલ બાટી રહ્યા છે. કચ્છમાં સંશોધનની શક્યતા ઘણી છે એટલે પસંદગી કરાઈઆ પરિષદ માટે કચ્છની જ પસંદગી કેમ કરાઈ તેવા સવાલનો જવાબ આપતા આઇશાના સેક્રેટરી પ્રોફેસર આલોક કુમારે જણાવ્યું કે,ગત વર્ષે આ અધિવેશન નોર્થ ઇસ્ટ ચેરાપુંજીમાં અને તે પૂર્વે કાશ્મીર શ્રીનગરમાં આયોજીત કરાયું હતું. કચ્છમાં સંશોધનની તક ઘણી છે જેમાં પ્રવાસનની સાથે ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે.બહારથી ડેલીગેટ્સ આવશે અને તેઓ કચ્છને સમજી કચ્છની વાત રજૂ કરશે તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે જે ઉપયોગી સાબિત થશે. આ મુદ્દાઓ પર 3 દિવસ દરમ્યાન થશે ચર્ચા

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:16 am

રોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ:લોરિયા અને બિબ્બર માર્ગ સુધારણાની ગુણવતા નબળી જણાતા કામ અટકાવાયું

ભુજ થી ખાવડા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (સ્ટેટ)નો માર્ગ ઘણા સમયથી ભારે વાહનોને કારણે સતત તૂટતો રહ્યો છે અને રીપેરીંગ પણ થાય છે. થોડા સમય પહેલા લોરીયા થી બિબ્બર (ભુજ નખત્રાણા માર્ગ) સુધી 22 કિલોમીટર રસ્તાના સુધારણાનું કામ પણ વિવાદમાં પડ્યું છે. સ્થાનિક અગ્રણીઓ અને પંચાયતના સભ્યોના આક્ષેપ મુજબ નિરોણા ગામમાંથી પસાર થતો 1200 મીટરનો સીસી રોડ જૂની સડક ખોદીને નવો બનાવવાને બદલે જેમ છે તેના પર સિમેન્ટનું સ્તર ચડાવતા દિવાળી પર કામ અટકાવ્યું હતું. નિરોણા પાસે સીસી રોડ અટકાવવા બાબતે ગામ અગ્રણી વિરમભાઈ આહિરે જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની સુધારણાનું કામ થઈ રહ્યું છે. આ ડામર વર્ક કરતી વખતે સાઇડ સોલ્ડર ભરતી કરવાની હોય તેમાં ઠેકેદારને ફાયદો કરાવીને સિમેન્ટ માટેના રસ્તામાંથી નીકળતા મલબાને જ પાથરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ડામર કામ કરવા માટે જુના રોડને ખોદીને તેમાં 40% મોરમ, જીએસપી બાદ સિમેન્ટનું સ્તર બનવું જોઈએ તેને બદલે સીધો સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ટેન્ડરમાં આઈટમ રેટ મુજબ થાય તો જ મજબૂત માર્ગ બને. નિરોણા ગ્રામ પંચાયતના સદસ્યો તથા ગ્રામજનોએ આ જ કારણસર દિવાળી પર કામ અટકાવ્યું હતું જે ફરીથી બે દિવસ પહેલા શરૂ થતા કામની ગુણવત્તા બાબતે શંકા જતા લોકોએ સાથે મળીને ગુણવતાસભર કામ કરવા જ દેવાશે તેવું કહ્યું હતું. ગ્રામ પંચાયત સદસ્ય રાજેશ પુંજાલાલ ભાનુશાલી, વિશ્રામભાઇ આહીર, વાલાભાઈ, ઉંમરભાઈ કુંભાર સહિતનાઓ કામની ગુણવત્તા બાબતે નાયબ કાર્યપાલક સુધી રજૂઆત કરી હતી. જોકે સાઇટ વિઝીટ કરીને યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી મળ્યા બાદ કામ શરૂ થશે તેવું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:14 am

તૈયારીઓ પૂરજોશમાં:ભુજમાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં

ઈતિહાસમાં પહેલી વાર મુખ્ય સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નો સ્થાપના દિવસનો કાર્યક્રમ ભુજમાં યોજાઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.આ ઉજવણી એક સીમાચિહ્નરૂપ ઘટના છે, જે બીએસએફની સેવા અને બહાદુરીના 60 ગૌરવશાળી વર્ષો (ડાયમંડ જ્યુબિલી) ની યાદમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં મોટરસાયકલ રેલીનો સમાવેશ થાય છે જેને જમ્મુથી લીલીઝંડી આપવામાં આવી હતી અને 19નવેમ્બરના ભુજમાં સમાપ્ત થવાની છે. બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરી તાજેતરમાં ભવ્ય કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરવા માટે ભુજની મુલાકાતે આવ્યા હતા.BSF સ્થાપના દિવસ સામાન્ય રીતે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જે 1965માં દળની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે. જોકે, મુખ્ય પરેડ અને ઉજવણી ઘણીવાર 1 ડિસેમ્બરની નજીક અથવા નવેમ્બરના અંતમાં કરવામાં આવે છે અને દર વર્ષે દેશભરમાં વિવિધ સ્થળોએ જનજાગૃતિ કેળવવા અને સરહદી સમુદાયો સાથે જોડાવા માટે યોજવામાં આવે છે. ભુજમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, સ્થાનિક અધિકારીઓ અને BSF કર્મચારીઓ ખાતરી કરે છે કે, ઉજવણી શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવ બંનેને પ્રતિબિંબિત કરે છે. આ ઉજવણી ફક્ત છ દાયકાની સેવાની યાદમાં જ નહીં પરંતુ ભારતના સુરક્ષા દળોની વિકસિત શક્તિ અને વિવિધતાનું પણ પ્રતીક હશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:12 am

સિટી એન્કર:ભારતની દેવવાણી સંસ્કૃત ભાષામાં લગ્ન પત્રિકા છપાવી યુવાએ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાની પહેલ કરી

આજના આધુનિક યુગમાં લગ્ન જેવા શુભ પ્રસંગો ‘ઇવેન્ટ’ બની ગયા છે. માંગલિક પ્રસંગોમાં થતી વિધિઓ વૈદિક ઉચ્ચારણ સાથે ધાર્મિક અને પ્રાચીન પરંપરા મુજબ ઉજવવાની દિશા બદલાઈ છે, ત્યારે ભુજના યુવાને લગ્ન પત્રિકા સંસ્કૃતમાં છપાવીને ભારતની પ્રાચીન ગૌરવપ્રદ ભાષાને પ્રાધાન્ય આપ્યું છે. આજકાલ કંકોત્રીઓ અંગ્રેજીમાં પ્રકાશિત થતી હોય છે તેને બદલે દેવવાણીમાં બનાવવા અંગે અભિષેક રવિભાઈ ગરવા કહે છે કે, વિશ્વની સૌથી સમૃદ્ધ અને જૂની ભાષાને આપણે ભૂલી ગયા છીએ તે જીવંત બનાવવાનો એક નાનકડો પ્રયાસ છે. તમામ વેદો, ઉપનિષદો, ગીતા, પુરાણ, મહાભારત અને રામાયણ પણ સંસ્કૃતમાં લખાયેલાં છે. ભારતનાં પ્રાચિન ઋષિમુનિઓએ તમામ ક્ષેત્રોમાં સંકૃતમાં ઋચાઓ લખીને ઉપલબ્ધતા પ્રાપ્ત કરી હતી. મોટાભાગની ભાષાઓ સંસ્કૃતમાંથી જ બની હોવાના પ્રમાણ છે. ભારતની આ પ્રાચીન ભાષા પર વિદેશી આક્રમણને કારણે અંગ્રેજીનું ચલણ વધતું ગયું. ઇન્સ્યુરન્સ ક્ષેત્રે જોડાયેલા ભુજના યુવાન પોતાના લગ્ન માટેની પત્રિકામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીને અનેક લોકોને પ્રેરણા આપી છે. સંસ્કૃત પત્રિકા પ્રકાશિત કરવા પાછળની પ્રેરણા માટે અભિષેક જણાવે છે કે આજકાલ આધુનિક ભાષા અંગ્રેજીનું વળગણ છે જેને કારણે લોકો સંસ્કૃતને ભૂલ્યા છે. પરંતુ વિશ્વની સૌથી જૂની સમૃદ્ધ અને દેવવાણી કહી શકાય તેવી સંસ્કૃતના શબ્દોનું ઊંડાણ અનોખું છે. તે માત્ર ભૂતકાળ નહીં પરંતુ વર્તમાન અને ભવિષ્યની પણ ભાષા છે. ભારતની સંસ્કૃતિ અને ગૌરવસભર વારસો એવી આ ભાષાના મૂલ્યો જાળવવા જ જોઈએ. આ ભાષા નૈતિકતા શીખવે છે જેની વર્તમાન સમયમાં ખૂબ જરૂરિયાત છે. સંસ્કૃત એકમાત્ર ધાર્મિક ભાષા તરીકે ઓળખાય છે પરંતુ વાસ્તવમાં આ પ્રાચીન ભાષામાં દુનિયાની બીજી કોઈપણ ભાષા કરતાં વધારે શબ્દો છે. વર્તમાન સંસ્કૃતનાં શબ્દકોષમાં 102 અબજ 78 કરોડ 50 લાખ શબ્દો છે. સંસ્કૃત કોઈપણ વિષય માટે અદભુત ખજાનો છે. જેમ કે હાથી માટે જ સંસ્કૃતમાં 100 થી વધારે શબ્દો છે. તેમજ બીજી કોઈ ભાષાનાં મુકાબલે સંસ્કૃતમાં સૌથી ઓછા શબ્દોમાં વાક્ય પુરુ થઈ જાય છે. કર્ણાટકનાં મુત્તુરનાં લોકો સંસ્કૃત ભાષામાં વાત કરે છેકર્ણાટકનાં મુત્તુર ગામનાં લોકો માત્ર સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે. સુધર્મા સંસ્કૃત ભાષામાં પ્રથમ ન્યુઝ પેપર હતું. આજે પણ તેનું ઑનલાઈન સંસ્કરણ ઉપલબ્ધ છે. રાજ્યની સત્તાવાર અને મૂળ ભાષા કન્નડ હોવા છતાં મત્તુરના રહેવાસીઓએ સંસ્કૃતમાં તેમના રોજિંદા સંદેશાવ્યવહાર દ્વારા પ્રાચીન ભાષાને જીવંત રાખવામાં વ્યવસ્થાપિત કરી છે તે એક અનોખી સિદ્ધિ છે. મત્તુરમાં મુખ્યત્વે સાંકેથીઓ, એક બ્રાહ્મણ સમુદાય જે કેરળમાંથી સ્થળાંતર કરીને લગભગ 600 વર્ષ પહેલાં મત્તુરમાં સ્થાયી થયો હતો. સિટી એન્કર

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:09 am

સ્થાનિકોને વિવિધ રોગની સારવાર મળી રહેશે:RTO રિલોકેશન વિસ્તારમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો આરંભ

શહેરના આરટીઓ રિલોકેશન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં સ્થાનિકોને સવાર અને સાંજ વિવિધ રોગની સારવાર મળી રહેશે. આ બાબતે મળતી માહિતી મુજબ, આયુષમાન ભારત અંતર્ગત અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.કેમ્પ એરિયા જૂની મેન્ટલ હોસ્પિટલની સામે આવેલા સરકારી અર્બન હેલ્થ સેન્ટરના નેજા હેઠળ આ કેન્દ્ર કાર્ય કરશે.સેન્ટરમાં એક એમબીબીએસ ડોક્ટર, સ્ટાફ નર્સ, MPHW સહિતનું મહેકમ મંજુર કરાયું છે. દર્દીઓ માટે સવારે અને સાંજે આ કેન્દ્ર ખુલ્લું રહેશે.ભુજમાં સંજોગ નગર, રાવલવાડી, ગાંધીનગરી, સુરલભીઠ અને પ્રમુખસ્વામીનગર બાદ આ છઠું કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે .ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં લાંબા સમયથી સરકારી દવાખાનાની જરૂરિયાત હતી અને મંજુર પણ થયું હતું જોકે દવાખાનું ચલાવવા માટે યોગ્ય મકાન ન મળતા સુવિધા ઉભી થઈ ન હતી.હવે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેથી સ્થાનિકની વિવિધ સોસાયટી અને આરટીઓના લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:08 am

ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમનો દરોડો:ભુજ તાલુકાના છેવાડાના કાઢવાંઢ ગામે નદીપટ્ટમાં થતી રેતીચોરીને ઝડપી લેવાઇ

ભુજ તાલુકાના છેવાડાના કાંઢવાંઢ ગામે ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે દરોડો પાડી નદીપટ્ટમાં થતી રેતીચોરી પકડી પાડી હતી.સ્થળ પરથી ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાયેલા એસ્કેવેટર મશીનને કબ્જે કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ખનિજચોરીના વધતા બનાવો અન્વયે જિલ્લા કલેક્ટર દ્વારા ખનિજ ચોરી અટકાવવાની સૂચના આપવામાં આવી છે જેથી કલેક્ટરની સુચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા 16 તારીખે કાર્યવાહી કરવામાં આવી હતી.ખાવડા પંથકમાં સાદી રેતી ખનિજ ચોરીની અવારનવાર મળતી ફરીયાદોને ગંભીરતાથી લઈ આસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમ્યાન ભુજ તાલુકાના છેવાડાના કાંઢવાંઢ ગામે આવેલ નદીપટ્ટમાં સાદીરેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતુ એક એસ્કેવેટર મશીન પકડવામાં આવ્યું હતું.આ મશીનને સિઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. જેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાલક કે વાહન માલિક પાસે રેતી ખનન સંદર્ભે આધાર પુરાવા મળી આવ્યા નથી જેથી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:08 am

ઈ-બાઈકનો ધંધો કરી મહિને લાખો કમાઓ!:રોકાણ અને કમાણી કેટલી? સરકાર સબસિડી પણ આપે, ગુજરાતના 2 શહેરમાં વધુ ફાયદો

શું 10 ઇલેક્ટ્રિક બાઇકથી મહિને લાખ રૂપિયા કમાઈ શકાય છે? જવાબ છે, હા આ શક્ય છે... ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઈ-બાઈક બિઝનેસ કરવો એ અત્યારે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, ખાસ કરીને જો તમે સરકારની પોલિસીનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો. આ બિઝનેસમાં સૌથી સ્માર્ટ રસ્તો B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મોડલ છે. આ મોડલમાં તમે Zomato, Swiggy જેવી ડિલિવરી કંપનીઓને તમારી ઈ બાઈક ફ્લીટ ભાડે આપીને મહિને ચોક્ક્સ કમાણી કરી શકો છો. બિઝનેસનું ગણિત અને રોકાણ આ B2B મોડલ શરૂ કરવા માટે, તમારે આશરે 8 લાખ રૂપિયાની 10 ઈ બાઈક, 12 લાખ રૂપિયાનું 'બેટરી સ્વેપિંગ સ્ટેશન' અને 4 લાખ રૂપિયાના વ્હાઈટ-લેબલ સોફ્ટવેરની જરૂર પડશે. એટલે કે કુલ રોકાણ આશરે 24 લાખ રૂપિયા થાય છે. સરકાર કેવી રીતે મદદ કરશે? 24 લાખની રકમ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ ખર્ચ પર સરકારી મદદ મેળવવા માટે ગુજરાત સરકાર પાસે જ બે જોરદાર રસ્તા છે: સ્થાનિક પાલિકાનો વધારાનો લાભ જો તમે અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ની હદમાં આ બિઝનેસ શરૂ કરો છો, તો તમને વધારાની સબસિડી પણ મળી શકે છે. જ્યારે, જો તમે સુરત મહાનગર પાલિકા (SMC)ની હદમાં ધંધો શરૂ કરો છો, તો તમને બેટરી સ્વેપિંગ સ્ટેશન બનાવવા માટે 10 ટકા પાર્કિંગની જગ્યા મફત મળશે. ખર્ચ ઘટાડવા અને ધંધો વધારવા માટે 2 સ્માર્ટ ટિપ્સ આટલું ખાસ યાદ રાખો જોખમ સામે સુરક્ષા આ ધંધામાં ચોરી અને અકસ્માતનું જોખમ હંમેશા રહે છે. આનાથી બચવા માટે સૌથી સ્માર્ટ ઉપાય છે કે તમામ બાઈકનો કોમ્પ્રિહેન્સિવ વીમો (Comprehensive Insurance) લેવો. આનાથી જો બાઈક ચોરી થાય કે અકસ્માત થાય, તો પણ ટેન્શન તમારે નહીં પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીને રહેશે. ટૂંકમાં, ઈ-બાઈક બિઝનેસમાં તક મોટી છે અને સરકારની મદદ તમારું જોખમ ઘટાડી દે છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર માહિતીપ્રદ હેતુ માટે છે, તેને નાણાકીય સલાહ ન ગણવી. કોઈ પણ બિઝનેસમાં જોખમ રહેલું છે. લેખમાં દર્શાવેલ ખર્ચ, કમાણી અને સરકારી સબસિડીના આંકડા અંદાજિત છે અને સમય તથા સંજોગો મુજબ બદલાઈ શકે છે. રોકાણ કરતા પહેલા વાચકે પોતાની રીતે સંપૂર્ણ તપાસ કરવી અને નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:05 am

ઈ બાઈક બિઝનેસથી મહિને લાખો કમાવો:જાણો ખર્ચા અને કમાણીનું ગણિત, સરકારી 'ગ્રાન્ટ' કે 'સબસિડી' કઈ રીતે લેવી? 3 સ્માર્ટ ટિપ્સ લાખો બચાવશે

શું તમે 10 ઈલેક્ટ્રિક બાઇકથી મહિને 75 હજારથી 1 લાખ રૂપિયા કમાવવાનું વિચારી રહ્યા છો??? ભારતમાં આ બિઝનેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને Zomato, Swiggy જેવી ડિલિવરી કંપનીઓને B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મોડલ પર બાઇક ભાડે આપવાનો ટ્રેન્ડ ચાલી પડ્યો છે, જેમાં દર મહિને નિશ્ચિત આવક મળે છે. પણ આ બિઝનેસ શરૂ કરવાનો ખર્ચ કેટલો? એક અંદાજ મુજબ, 10 'કાર્ગો' બાઇક અને સ્વેપિંગ સ્ટેશન સાથે આ સેટઅપ ₹24 લાખ સુધી પહોંચી શકે છે. આટલું મોટું રોકાણ જોઈને અટકાઈ ન જતાં. આ ખર્ચને પહોંચી વળવા અને તમારા જોખમને ઘટાડવા માટે ગુજરાત સરકાર પાસે જ બે જોરદાર રસ્તા (સ્કીમ) છે. ચાલો, આજે આખા બિઝનેસ પ્લાન અને સરકારી મદદનું ગણિત ભાસ્કર એક્સપ્લેનરમાં સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ. બિઝનેસ મોડલ અને ખર્ચનું ગણિત આમ તો આ બિઝનેસના બે પ્રકાર છે. B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર અને B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. આમાં સૌથી સ્ટેબલ મોડલ B2B ગણાય છે. એટલે કે, તમારી ઈ-બાઈક ફ્લીટ (જથ્થો) ડિલિવરી કંપનીઓને ભાડે આપવી. આના માટે તમારે નીચે મુજબના કામ અને ખર્ચ કરવાના રહેશે. તમારે ગ્રાન્ટ લેવી કે સબસિડી? આ ₹24 લાખના રોકાણ માટે સરકાર તમને બે અલગ-અલગ રીતે મદદ કરી શકે છે. એ સમજવું જરૂરી છે કે તમારે તમારી યોગ્યતા મુજબ બેમાંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો રહે છે. વિકલ્પ 1: સ્ટાર્ટઅપ ગુજરાત ગ્રાન્ટ આ રસ્તો એવા લોકો માટે છે જેમનો બિઝનેસ આઇડિયા માત્ર બાઇક ભાડે આપવા પૂરતો નથી, પણ તેમાં કોઈ નવીનતા (Innovation) છે. તેમને જ લાગું પડે છે. વિકલ્પ 2: ગુજરાત ઈવી પોલિસી સબસિડી આ બધા માટે સીધો અને સરળ રસ્તો છે કારણ કે જો તમારો પ્રોજેક્ટ ઇનોવેટિવ કેટેગરીમાં ન આવતો હોય, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ બીજો રસ્તો દરેક ઈ-બાઈક બિઝનેસ કરનાર માટે ઉપલબ્ધ છે. અમદાવાદ અને સુરતમાં વધારાનો ફાયદો ગુજરાત રાજ્ય સરકારની પોલિસી ઉપરાંત, અમુક મહાનગરપાલિકા પણ વધારાના લાભ આપે છે. (અરજી કરતાં પહેલાં ચકાસવું કે રાજ્ય અને સ્થાનિક બંને સબસિડી એકસાથે મળે છે કે કેમ). ત્રણ સ્માર્ટ ટિપ્સ જે લાખો બચાવશે આટલું ખાસ યાદ રાખો ઈ-બાઈક બિઝનેસમાં મોટી તક છે. ભલે તમારે ₹24 લાખ જેવા રોકાણથી શરૂઆત કરવી પડે, પણ સરકારની પોલિસીઓ (ખાસ કરીને EV સબસિડી) તમારા આ રોકાણના જોખમને ઘણું ઓછું કરી દે છે અને તમારા નફાને વધારી દે છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વાંચક માટે ખાસ નોંધ: આ લેખમાં આપેલા ખર્ચના આંકડા (જેમ કે ₹24 લાખ) અને સબસિડીની રકમ (જેમ કે ₹20,000) બજારના અંદાજો અને વર્તમાન પોલિસી મુજબ છે, જે સમય જતાં બદલાઈ શકે છે. સરકારી ગ્રાન્ટ કે સબસિડીની પ્રક્રિયા જટિલ હોઈ શકે છે અને તેની ચોક્કસ પાત્રતા (Eligibility Criteria) અને શરતો હોય છે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં, વાચકોને ભારપૂર્વક સલાહ છે કે તેઓ 'સ્ટાર્ટઅપ ગુજરાત' અને ગુજરાત સરકારના 'ઇવી પોલિસી' પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમામ નવા નિયમો, શરતો અને અરજી પ્રક્રિયાની જાતે જ ચકાસણી કરી લે. આ લેખ માત્ર માહિતી અને માર્ગદર્શન માટે છે જેની વાંચક મિત્રોએ ખાસ નોંધ લેવી. વધુ વીડિયો જોવા નીચેના ફોટો પર ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:05 am

ખાડાએ લીધો યુવાનનો જીવ:વરણામા હાઇવે પર ત્રણ સવારી યુવકોનું મોપેડ 1 ફૂટના ખાડામાં પડ્યું,એકનું મોત

વરણામાના રાંભીપુરાનો યુવક શનિવારે 2 મિત્રો સાથે તરસાલી ચોકડી આવી રહ્યો હતો. વરણામાના કટ પાસે 1 ફૂટ ઊંડા ખાડામાં ત્રણ સવારી યુવકોનું મોપેડ પટકાતાં ત્રણેય ઈજાગ્રસ્ત થયા હતા. મોપેડ સવાર આશિષનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના પિતાએ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ બહેનો વચ્ચે આશિષ એકનો એક ભાઈ હતો. 18 વર્ષીય આશિષ પાટણવાડીયા, ફળિયામાં રહેતા જીગર પાટણવાડીયા અને જતીન પાટણવાડીયા શનિવારે રાત્રે મોપેડ લઈને નીકળ્યા હતા. તો બીજી બાજુ આશિષના પિતા અરવિંદભાઈ તેમની દીકરીની સારવાર કરાવવા માટે જમનાબાઈ હોસ્પિટલમાં આવ્યા હતા. રાત્રીના સવા અગિયારના અરસામાં તેમને ફોન આવ્યો હતો કે, વરણામા કટ પાસે આશિષનો અકસ્માત થયો છે અને તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જેથી અરવિંદભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે જીગર અને જતીન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા, આશિષને માથાના ભાગમાં ઈજા પહોંચતા તે બેભાન હાલતમાં હતો. જોકે સારવાર દરમિયાન સોમવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં તેનું મોત થયું હતું. જેને પગલે અરવિંદભાઈએ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સમયે જતીન મોપેડ ચલાવી રહ્યો હતો અને ખાડામાં ખાબકતા તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 1 યુવક કોમામાં, એકની હાલત ગંભીરરાત્રી દરમિયાન થયેલા અકસ્માતમાં ત્રણેય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં આશિષનું મોત થયુ છે. જ્યારે તેની સાથે મોપેડ સવાર એક યુવક હાલ કોમામાં સરી પડ્યો છે જ્યારે બીજા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર ચાલી રહી છે. જામ્બુવા બ્રિજથી લઈને કપુરાઈ ચોકડી સુધી હાઈવે પર મોટા ખાડાશહેરની સાથે હાઈવે પર ખાડાની સમસ્યા ખુબ જ વધી ગઈ છે. શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક ખાડા છે. જેના કારણે લોકો તકલીફમાં મૂકાય છે. 2 દિવસ પહેલાં હું ખાડામાં પડતા-પડતા બચ્યો હતો. હાઈવે ઓથોરીટીને કામ જ નથી કરવું. > ચિરાગ અમીન, વરણામા ખાડાને કારણે બાઈકનું ટાયર જામ થઈ ગયું, ચાલકે સંતુલન ગુમાવ્યુંમોપેડ પર સવાર 3 યુવકો જ્યારે ખાડામાં પટકાયા ત્યારે મોપેડનું પાછળનું પૈડુ જામ થઈ ગયું હતું. જેના કારણે જતીને મોપેડનું સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ રોડ પર પટકાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:03 am

દરિયાના મોજા સામે મોજેમોજ, ડ્રોન વીડિયો:મુંબઈ અને ગોવા દરિયા કિનારા જેવી મજા ડુમસમાં મળશે, આવતા મહિને સુરતીઓને બીચ પર સાયકલટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે

ડુમસ દરિયા કિનારો એ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે. જેને વધુ આકર્ષક બનાવવા માટે કામ થઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડુમસ સી ફેસ ફેઝ 1 અને 2ની મોટાભાગની કામગીરી પૂર્ણ થવા આવી છે. તેના પગલે આગામી 15 ડિસેમ્બરના રોજ ડુમસ સી ફેસનું લોકાર્પણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતા મહિને સુરતીઓને ડુમસ બીચ પર સાયકલ ટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે. ડુમસ બીચ પર મુંબઈ અને ગોવાના બીચ જેવો અહેસાસ થાય તેવી સુવિધાસુરત શહેરને ઇન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ મળે તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. મુંબઈ જુહુ બીચ મરીન ડ્રાઈવ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સુરતમાં પણ ડુમસ બીચ છે પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે પરંતુ લોકોને કંઈક સુવિધા મળતી નથી. પરંતુ હવે સુરત શહેર અને બહારથી આવતા લોકોને મુંબઈ અને ગોવાના બીચ જેવો અનુભવો થાય આ માટે ખાસ ડુમસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ માટે ફોકસ કરી રહી છે. ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચાર ઝોનસુરત શહેરમાં ડુમસ સી ફેસના ડેવલોપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કુલ ચાર ઝોનમાં ઝોન-1 – અર્બન ઝોન, ઝોન-2 – પબ્લિક સ્પેસ-ઈકો ઝોન, ઝોન-3 – ફોરેસ્ટ-ઇકો ટૂરિઝમ અને વેલનેસ ફેસિલિટી, ઝોન-4 – ડુમસ પોર્ટ અને જેટીનો પુનર્વિકાસ તથા યાટ ઝોન. ઝોન-1 અર્બન ઝોનમાં પેકેજ-1 અને પેકેજ-2 મળી કુલ 22.86 હેક્ટર અનામત ખંડ નં.આર-64 પૈકી અને બિનનંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી હતી, જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ-1 એટલે કે 12.32 હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે. આ સી-ફેસ પ્રોજેક્ટ 78.99 હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની 23.07 હેક્ટર મળી કુલ 102.06 હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની 45.93 હેક્ટર સરકાર હસ્તકની બિનનંબરી જમીન છે. આ જમીન પર સૂચિત ઈકો ટૂરિઝમ પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે. 175 કરોડના ખર્ચે થઈ રહ્યું છે ડુમસ બીચનું ડેવલપમેન્ટસુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, ડુમસ એટલે સુરતનું એકમાત્ર હરવા-ફરવાનું સ્થળ. લગભગ દર શનિ-રવિએ શહેરીજનો ડુમસની મુલાકાત લેતા હોય છે. જેને કારણે સુરત મહાનગરના ભાજપ શાસકોએ ડુમસને વિકસાવવાનો નિર્ણય કરેલો હતો. અંદાજે 175 કરોડના ખર્ચે ડુમસના પેકેજ-1 અને પેકેજ-2 નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જે અંતિમ તબક્કામાં છે. અમારી ગણતરી છે કે 15 ડિસેમ્બરની આસપાસ ડુમસનું પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવામાં આવે. સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉપલબ્ધ થશેઆ ડુમસ સી-ફેસના લોકાર્પણ બાદ ત્યાંના સ્થાનિકો માટે એક રોજગારીનો એક નવો અધ્યાય શરૂ થશે. પહેલા લગભગ શનિ-રવિએ લોકો ડુમસની મુલાકાત લેતા હતા, પણ ડુમસ સી-ફેસ ખુલ્લો મુકાતા ત્યાં અલગ-અલગ ગેમ્સ લોકો રમી શકશે. તે ઉપરાંત ફૂડ કોર્ટ પણ છે, સાયકલ ટ્રેક છે. ત્યાં એક અલગ એક્ટિવિટીઓ કરી શકે તેવું તમામ આયોજન છે, જેને કારણે લોકોને ડુમસ જવા માટે એક કારણ મળી શકશે. અને ફક્ત શનિ-રવિ નહીં, સાતેય સાત દિવસ ડુમસમાં સહેલાણીઓ ઊમટી પડશે, જેનો સીધો ફાયદો ત્યાં સ્થાનિક લોકોને રોજગારીમાં થવાનો જ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા:ટુંડાવની કંપની પાસે 15 કરોડની ખંડણી માગવાના કેસમાં આરોપીઓ જેલ ભેગા

ટુંડાવની કંપનીના ડાયરેક્ટરને એનજીટીના અધિકારીનો સપોર્ટ છે. કંપની પોલ્યુશન ફેલાવે છે. કંપની બંધ કરાવી દઈશું તેમ જણાવી 15 કરોડની ખંડણી માગવાના કેસમાં સયાજીગંજ પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. ટુંડાવ ખાતે આવેલી ઈન્ડો એમાઇન્સ લી. કંપનીમાં જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહિડા બંને કંપનીએ ગયા હતા અનેત્યાં ગામના લોકોએ કંપની વિરૂદ્ધ પોલ્યુશન બાબતે ફરિયાદ કરી છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ સયાજીગંજની એફોટેલ હોટલમાં મિટિંગ યોજી જીતસિંહ રાણા તથા સુનીલ મહિડા અને સમા વિસ્તારમાં રહેતા સન્ની પ્રવીણભાઈ સોલંકી ગયા હતા 15 કરોડ આપવા પડશે, નહીં તો એનજીટીના અધિકારીઓ કંપનીને બંધ કરાવી દેશે તેમ કહ્યું હતું. પોલીસે બંનેની અગાઉ ધરપકડ કરી હતી. ગઈ કાલે વધુ 1 આરોપી સન્ની સોલંકી ને ઝડપી પાડ્યો હતો.દરમ્યાન આરોપીઓના 1 દિવસના રિમાન્ડ પુરા થતા આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યાં કોર્ટે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો. પકડાયેલા આરોપીઓ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

'સાપ પર પગ દેવાઈ ગયો છે,અહીં ન આવતા':શેતાન શૈલેષે તકીયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું, બીજા રૂમમાં પુત્ર-પુત્રીને પતાવી દીધા, ભાવનગરમાં ACFના ઘરમાં શું શું થયું?

તારીખ: 5 નવેમ્બર, 2025સ્થળ: ફોરેસ્ટ કોલોની, ભાવનગરસમય: સવારના 7.00થી 8.00 ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે 6 નવેમ્બરે થોડી ચહલ પહલ હતી. આમ તો અવાવરુ જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવર જવર જોવા મળતી નથી. પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીના ડમ્પર આવે છે. આ દરમિયાન એક બીટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વારટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો, પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે. જો કે તે વ્યક્તિનો સાપ પર પગ નહોતો આવ્યો પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રીક હતી. 5 નવેમ્બર, 2025ની સવાર હતી. હજુ તો સુરજ દાદા ઉગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં શાંતિ છવાયેલી હતી અને ઘણાં લોકો ઉંઘમાં હતા. બરાબર આ જ સમયે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ક્વાટરમાં એક ખતરનાક ષડ્યંત્રને અંજામ આપવાની તૈયારીઓ થઈ રહી હતી. આ તૈયારીઓ બીજા કોઈએ નહીં પણ એક વર્ષ પહેલાં જ પ્રમોશન લઈને ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) બનેલા શૈલેષ ખાંભલાએ કરી હતી. આગળ જતા આ ભયંકર અને ધ્રુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી. શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતા. જો કે તેઓ સુરતમાં રહેતા હતા. પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યા હતા. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી. જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો. 5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સુતા હતા ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઉંઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઉંઘી રહેતા તેના પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલાં પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકીયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડી. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો7 વાગ્યે વ્હાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધા બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા. પરંતુ હવે તેમાં લાશ મૂકવા અને પછી તેને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાંખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાંખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાંખી દીધું. શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતોઅને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો. પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી. જેમાં પત્ની નયનાબેન ,દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો-આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યો હતો. સિક્યુરિટીએ કહ્યું મેં તો તેના પત્ની કે બાળકોને જોયા નથી8 નવેમ્બરના રોજ ગુમ થયેલા નયનાબેનનો મોબાઇલ નંબરના સીડીઆર મંગાવવામાં આવ્યા. આ દરમિયાન ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયા હોવાનું સિક્યુરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યુરિટીની પૂછપરછ કરતા બાળકો કે પત્નીને જોયા ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતા પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતા રહ્યા હતા તેના ઉપર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મંગાવી તેમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની વધુ પૂછપરછ કરી હતી. મેસેજ ડ્રાફ્ટમાં જ પડ્યો રહ્યો ને શૈલેષનું કામ તમામ થઈ ગયુંશૈલેષે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો. જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે તેવી વાત લખી હતી.જો કે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં કારણ કે ફોન એરોપ્લેન મોડમાં જ હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા તે મિસમેચ આવ્યો હતો. જેના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો. પોલીસે RFOને પૂછ્યું ને એક બાદ એક રહસ્યો ખુલવા લાગ્યાઆ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતા પોલીસે શૈલેષનો મોબાઈલ ટ્રેસ કરી તેમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેઇલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતા તે નંબરના વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતા અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું. 2 નવેમ્બરે ખાડા કરવા સૂચના આપી, પછી માટી નંખાવીત્યાર બાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણીયાનું નિવેદન લેવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું કે, શૈલેષે તેના ક્વાટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સુચના આપી. ત્યારબાદ આ જ ખાડાને ફરી બુરવા માટે શૈલેષે સુચના આપી. આ સુચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ (ટાશ) મગાવી ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં બુરાવી તે જગ્યા સમતલ કરાવી હતી. જેને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી. 'ACF ખાંભલા સાહેબના કવાટર પર મોરમની જરૂર છે'આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન આપવા બોલાવ્યા. જેમાં તેમણે જણાવ્યું કે, 6 નવેમ્બરે સવારના 8.35 વાગ્યે પોતાના મોબાઇલ ફોન ઉપર RFO મીત વાણીયાએ ફોન કરી કહ્યું કે, ACF ખાંભલા સાહેબના કવાટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે તેમ કહેતા કુલદિપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. આ પછી સવારે 10 વાગ્યે ડમ્પર વાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણીયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બન્ને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને ACF ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે તેમ પૂછતા કહ્યું હું આવુ છું. 'તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે'ત્યાર બાદ થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાના છે? તેમ પૂછતા તેણે કહી દીધું કે, આ ડમ્પર પાછળ લઇ લો. જ્યાં તેના કવાટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાટર પાછળ થઈને જ્યાં ડમ્પર નાંખવાના હતા તે ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું કે, તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે. 'ખાડામાં રાત્રે એક રોજડુ પડી ગયું હતું એટલે મેં ગાદલું નાંખ્યું'આ ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે તેનાથી જેસીબીથી પુરાવી દેત ત્યારે ખાંભલાએ કહ્યું કે, ખાડામાં રાત્રે એક રોજડુ(નીલ ગાય) પડી ગયું હોવાથી તેને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી દીધું હતું અને તેના સહારે રોજડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બુરી દેવાયો હતો. એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યોત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો તેમ કહેતા જગ્યાને સમથળ કરાવી દીધી હતી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણીયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાટર પાસે તેના જણાવ્યા પ્રમાણે એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ બુરવા માટે વધુ મોરમ(માટી) મંગાવી ખાડો બુરી દેવાનું કહ્યું જે બાદ મોરમ લઈ અને ખાડાઓ બુરી આપ્યા હતા. ઘટનાસ્થળે ખોદકામ કર્યું ને એક બાદ એક ત્રણ લાશો નીકળીઆ માહિતી અંગે સીટી DySP આર.આર.સિંઘાલને જાણ કરવામાં આવી હતી. જેમાં 16 નવેમ્બરના રોજ બે પંચો હાજર રાખી પંચરોજ કામ કરવામાં આવતા, જેની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા વિડિયોગ્રાફર, આરએફઓ અમિત વાણિયાને સાથે રાખી ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવ્યું. આ દરમિયાન 3 માનવ મૃતદેહ ખાડામાંથી મળી આવતા તેની ઓળખ પરેડ અંગે પરિવારના સભ્યોને બોલાવ્યા. જેમાં આ ત્રણેય મૃતદેહ ખાંભલા પરિવારના જણાઈ આવતા મૃત્યુ અંગે ફરિયાદ નોંધી હતી. સ્નિફર ડોગ બેડ અને સેટી પલંગ પાસે ગયોત્યાર બાદ ડોગ સ્કવોડ બોલાવી, જેથી ડોગ શૈલેશના ઘરની આજુબાજુ તથા દિવાલની આજુબાજુ અને ઘરના હોલમાં રહેલા સોફા પાસે, બેડરૂમમાં રહેલા સેટી પલંગ પાસે ગયો. ત્યારબાદ ત્રણેય લાશનો કબ્જો સંભાળી સર ટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી. પોસ્ટમોર્ટમ બાદ રાત્રે જ અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા ખાડામાંથી મૃતદેહ મળી આવતા શૈલેષ ખાંભલા વિરુદ્ધ પરિવારના સભ્યોની હત્યા તેમજ પુરાવાનું નાશ કરવા બાબતે અને પોલીસને ગેરમાર્ગે દોરવવા બાબતનો ગુનો દાખલ કરી હત્યા અંગેના કારણ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે શૈલેષે એસપીને કહ્યું કે, તમે હોલ્ડ કરી દો, હું અત્યારે મારા લેવલે ટ્રાય કરું છુંઆ મામલે ભાવનગર એસપી નિતેશ પાંડેએ જણાવ્યું કે, એનો જે મેઇન મોટીવ હતો કે એ એવી રીતે છે કે તેની અને પત્ની બંને વચ્ચે ઘરકંકાસ હતો. પત્નીનો આગ્રહ હતો કે તે પતિ સાથે રહે અને પતિનું કહેવું હતું કે સાસરી પક્ષ સાથે સુરતમાં રહે. એમાં છેલ્લા ઘણા દિવસથી ઘરકંકાસ ચાલતો હતો અને એટલા માટે ત્રણેયના મર્ડર કર્યા હતા. અગાઉ શૈલેષ ખાંભલા મને મળવા આવ્યા હતા મને પણ પહેલી વખત લાગ્યું કે પોતે કોઈ રેફરન્સથી મારી પાસે આવે છે પછી અમે કીધું કે અમે બેસ્ટ મહેનત તમારા માટે કરીશું અમારી બેસ્ટ ટીમ લગાડીશું તો એને કીધું કે અત્યારે તમે રહેવા દો હોલ્ડ કરો હું અત્યારે મારા લેવલે ટ્રાય કરું છું અને બે ત્રણ દિવસ પછી મને લાગશે તો મદદની જરૂર છે તો આપને કોન્ટેક્ટ કરીશ પણ એના આગળથી ના મારા ઉપર કે ના મારા અધિકારી પર કોઈ કોલ ના આવ્યો. છેલ્લા 4-5 દિવસથી સુરત હતો. 5-6ની રાત તે પોતાની ઘરે નહોતો રોકાયો અને તે આજુબાજુમાં ફરતો હતો. તેને બિલકુલ અફસોસ નથી, તે માત્ર નાટક કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

'મતદાર યાદીમાં નામ નહીં મળે તો બાંગ્લાદેશીઓની જેમ કાઢી મૂકશે?':ભાસ્કરે BLO સાથે ઘરે-ઘરે ફરી મતદારોની મૂંઝવણ જાણી, લોકોએ કહ્યું-પહેલાં તો CAA-NRC જેવું લાગ્યું

મને એમ હતું કે આ લોકો મને પાકિસ્તાન મોકલી દેશે તો?.... મારું ઘર અને મિલકત પણ જતી રહેશે.... લોકો કહે છે કે જો તમારા ડોક્યુમેન્ટ નહીં મળે તો તમને અહીં નહીં રાખે એટલે હું નોકરી પર રજા રાખીને તમને મળવા આવી છું.... આ કેટલાક એવા વાક્યો છે જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની પ્રક્રિયા દરમિયાન BLOને સાંભળવા મળ્યા. બિહાર પછી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમારા ઘરે પણ BLO આવ્યા હશે અને ભરવા માટે ફોર્મ આપ્યું હશે. ફોર્મ ભરવા દરમિયાન મતદારને જો કોઇ મૂંઝવણ થાય તો BLO તેને મદદ કરે છે. લોકોના મનમાં કેવા-કેવા પ્રશ્નો આવે છે, BLO કેવી રીતે તેનું નિરાકરણ લાવે છે તે જાણવા ભાસ્કરે BLO સાથે એક દિવસ રહીને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવાનું નક્કી કર્યું. અમે આ માટે વિરમગામ વિધાનસભા મત વિસ્તારના અલબદર વિસ્તારના BLO સાથે રહ્યાં અને તેમની સાથે મતદારોના ઘરે-ઘરે ફર્યા. ઉપરાંત કેમ્પની પણ મુલાકાત લીધી હતી. મોહસીન વેપારી આ વિસ્તારના BLO છે. તેમણે ભાસ્કરની ટીમ સાથે રહી આખી કામગીરી બતાવી હતી. BLO સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી કામ કરે છેSIRની પ્રક્રિયા શરૂ થઇ તે પહેલાં BLOને પણ ટેન્શન હતું. આ વાતને યાદ કરતાં મોહસીન વેપારીએ કહ્યું કે, BLO તરીકે આ કામ સોંપવામાં આવ્યું ત્યારે અમને ખુદને મગજમાં ટેન્શન અને ઘણું બધું કન્ફ્યૂઝન હતું. ચિંતા એ હતી કે આ કામ કેવી રીતે પાર પાડીશું. અમને મામલતદાર ઓફિસમાં મિટિંગ કરીને અમારા કામ વિશે ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં જ્યાં સુધી પ્રેક્ટિકલ રીતે કામ શરૂ ન થયું ત્યાં સુધી ચેન ન પડ્યું. જાણી લો... મતદારયાદીમાં નામ રાખવાનું ફોર્મ કેવી રીતે ભરશો, અહીં ક્લિક કરો પોતાના કામગીરીના સમય અંગે વાત કરતા તેઓ કહે છે કે, આ કામ શરૂ થયું ત્યારથી સવારે 9 વાગ્યાથી હું ઘરેથી નીકળી જઉં છું. હું આ જ વિસ્તારનો રહેવાસી છું એટલે લોકો મને ઓળખે છે એટલે સમયની મર્યાદા જેવું કંઇ નથી. લોકો રાત્રે 12 વાગ્યા સુધી મને પ્રશ્નો પૂછતા હોય છે. કોઇપણ વ્યક્તિને કોઇ જાતની તકલીફ પડે તો ફોન કરીને પણ અમારો સંપર્ક કરે છે. નજીકના વિસ્તારોમાં સૌથી મોટો વિસ્તાર મારો છે. મારી પાસે 1366 મતદારોની જવાબદારી છે. મતદાર 3-4 જગ્યાના નામ આપે તો એ બધી યાદીમાં શોધવું પડેપોતાના કામકાજમાં કેવી કેવી તકલીફો પડે છે તેનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે, મારા વિસ્તારમાં નૂરી સોસાયટી આવેલી છે. 2002માં આ સોસાયટીનું અસ્તિત્વ જ નહોતું, એ સમયે ત્યાં ફક્ત 100 લોકો જ રહેતા હતા. 2002ના તોફાન પછી ત્યાં અનેક લોકો આવીને વસ્યા છે. અત્યારે 2002ની મતદાર યાદીમાં તેમના નામ શોધવામાં ખૂબ તકલીફ પડી રહી છે પરંતુ આ વિસ્તારના 2-2 વિભાગમાં હું રોજ જઉં છું. 'જે લોકોને યાદ હોય છે કે તેઓ 2002માં ક્યાં રહેતા હતા તેમનું નામ તે જગ્યાએથી શોધી લઇએ છીએ. કેટલાક લોકોને ચોક્કસ યાદ નથી હોતું તો તેઓ જે 3-4 જગ્યાના નામ લે એ બધા વિસ્તારની યાદીમાં તેમનું નામ શોધવું પડે છે. આ કામમાં થોડી સરળતા રહે તે માટે મામલતદાર કચેરીમાંથી અમને એક્સેલ ફાઇલ પણ આપવામાં આવી છે. જેમાં આખા વિરમગામની યાદી છે. તેમાંથી પણ અમે નામ શોધી આપીએ છીએ.' લોકોને બાંગ્લાદેશીઓની જેમ મોકલી દેવાનો ડરલોકો તરફથી કેવા-કેવા પ્રકારના સવાલો સામે આવે છે તેના વિશે તેમણે કહ્યું કે, લોકોમાં ઘણો ડર છે. કેટલાય લોકોને ડર છે કે અમારું નામ વોટર લિસ્ટમાંથી જતું રહેશે. લોકો કહે છે કે પહેલા અમારું ચૂંટણી કાર્ડ રદ્દ કરશે પછી આધાર કાર્ડ રદ્દ કરશે અને પછી અમને બીજા કોઇ દેશમાં મોકલી દેશે. જે રીતે બાંગ્લાદેશીઓને મોકલી દીધા હતા. '2002ની મતદાર યાદીમાં નામમાં પણ કેટલીક ભૂલો છે.જેમ કે કોઇનું નામ સમીરા હોય તો 2002ની યાદીમાં તેનું નામ સમરૂં લખાયેલું હોય છે. આ કામગીરી અંગે તેમણે જણાવ્યું કે, આ વખતે જે BLO જ્યાંની સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ હોય તેવી વ્યક્તિને તે વિસ્તારની જવાબદારી આપવાનો પ્રયત્ન કર્યો છે જે સારી બાબત છે. આ વાતચીત બાદ અમે BLO સાથે આગળ વધ્યા અને લોકોના ઘરે જવાનું શરૂ કર્યું. મોહસીનભાઇએ લોકોને ફોર્મનું વિતરણ કરી દીધું હતું. હવે લોકોએ ફોર્મ ભરી દીધું હોય તો તે લેવા અને તેમને કોઇ મૂંઝવણ હોય તો તે દૂર કરવાની હતી. લોકોના ઘરની મુલાકાત દરમિયાન મોહસીનભાઇ અશ્ફાક નામના એક મતદારના ઘરે પહોંચ્યા. તેમણે ફોર્મમાં જરૂરી વિગતો ભરી દીધી હતી. પહેલાં CAA-NRC જેવું લાગ્યુંદિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અશ્ફાકે કહ્યું કે, પહેલાં મને આ CAA-NRC જેવું લાગતું હતું. મને થતું કે જો લોકો પોતાના ડોક્યુમેન્ટ નહીં આપી શકે તો તેને બીજા દેશમાં મોકલી દેવાશે. ફોર્મ ભર્યા પછી લાગ્યું કે એવું કંઇ નથી, આ પ્રક્રિયા એકદમ સરળ છે. આ પહેલાં પણ રાજ્યમાં આ પ્રક્રિયા થઇ ચૂકી છે. મેં SIRની પ્રક્રિયા અંગે ઓનલાઇન જાણ્યું હતું. તેઓ લોકોને કહે છે કે, આ પ્રક્રિયા એકદમ સરળ છે, જરાપણ ગભરાશો નહીં. 2002ની મતદાર યાદીમાં તમારું નામ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જો આવું થાય તો BLO તમને મદદ કરી તમારી સમસ્યા દૂર કરશે. આના પછી અમે આગળ વધ્યા અને BLO સાથે એક યુવા મતદારના ઘરે પહોંચ્યા. શીફા જાહિદહુસૈન નામના મતદારે પોતાનું અને આખા ઘરનું ફોર્મ ભરીને તૈયાર રાખ્યું હતું. યુવા મતદારે કહ્યું લોકોએ ગભરાવાની જરૂર નથીશીફા કહે છે કે, મારી ઉંમર 21 વર્ષ છે. હું અગાઉ મતદાન કરી ચૂકી છું. આ પ્રક્રિયા શરૂ થઇ ત્યારે ચિંતા હતી પરંતુ અહીંયા BLO તરીકે અમારા ભાઇ જેવા મોહસીનભાઇ છે એટલે અમને કોઇ તકલીફ ન પડી. અમારા BLO પૂરતી મદદ કરે છે. મને એ વાતનો ગર્વ છે કે હું ગુજરાતમાં રહું છું. ફોર્મ અંગે તેણે કહ્યું કે, આ ફોર્મ ખૂબ સરળ છે. લોકોને પણ કહીશ કે ગભરાવાની જરૂર નથી, આ કામ ખૂબ સરળ છે. તમે ફોર્મ ભરી BLOને સોંપી દો તમને કોઇ તકલીફ નહીં પડે. અહીંથી થોડે દૂર મસ્જિદ પાસે મહમ્મદભાઇ નામના સામાજિક અગ્રણીનું ઘર હતું. તેમનું ફોર્મ અધૂરું ભરાયેલું હતું. BLOએ મદદ કરીને તેમને ફોર્મ ભરી આપ્યું. 'લોકો પૂછે છે કે ભારતની બહાર મોકલી દેશે?'મહમ્મદભાઇ કહે છે કે, લોકો ખૂબ ગભરાય છે અને જાતજાતના સવાલો પૂછે છે. કેટલાક લોકો કહે છે કે જો અમે ફોર્મ નહીં ભરીએ તો સરકાર અમને ભારતની બહાર મોકલી દેશે. અમારો જન્મ તારીખનો દાખલો જ નથી તો અમે શું કરીશું? આવું પૂછે છે પણ દરેક પ્રશ્ન હલ થઇ જશે. તેઓ કહે છે કે, વિચિત્ર પ્રશ્નો લઇને મહિલાઓ વધારે આવે છે. બહારની જાત જાતની વાતો સાંભળ્યા પછી તેમને ડર હોય છે. ઘણી મહિલાઓ તો BLOના ઘરે પણ પહોંચી જાય છે. ફોર્મ ભરવા માટે નોકરી પર રજા રાખીઅમે મહમ્મદભાઇ સાથે વાતચીત કરતા હતા એટલામાં તો એક બહેન લોકોને પૂછતા પૂછતા BLO મોહસિનભાઇને શોધીને તેમની પાસે પહોંચી ગયા અને પોતાના ફોર્મ અંગેની મૂંઝવણ વિશે પૂછવા લાગ્યા. તસ્લીમ શેખ કહે છે કે, હું પહેલા અહીં રહેતી હતી. મારુ ચૂંટણી કાર્ડ અહીંનું છે એટલે લોકોએ કહ્યું કે તમારું ફોર્મ અહીં આવશે. લોકો કહે છે કે જો તમારા ડોક્યુમેન્ટ નહીં મળે તો તમને અહીંયા નહીં રાખે. આવી જાતજાતની વાતો કરે છે. આવા પ્રશ્ન હતા એટલે હું આજે મારા કામ પર રજા રાખીને તમને મળવા આવી છું. આના પછી ભાસ્કરની ટીમ BLO સાથે એક કેમ્પ પર પહોંચી. આ વિસ્તારના કેટલાક નગર સેવકો અને સ્થાનિક અગ્રણીઓએ સાથે મળી એક જગ્યા નક્કી કરી છે. જ્યાં સવારેના 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કોઇપણ મતદાર SIRની પ્રક્રિયાની કામગીરી માટે આવી શકે છે.અહીં મંડપ બાંધ્યો છે અને 2 મોટા ટેબલ નાખીને સ્વયંસેવકો તેમજ BLO અને તેના સુપરવાઇઝર પણ રહે છે. ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે ત્યાં પૂરજોશથી કામગીરી ચાલી રહી હતી. સ્વયંસેવકો લોકોની મદદ કરી રહ્યા હતા અને લોકો પણ ઉત્સાહપૂર્વક પોતાના પ્રશ્નો લઇને આવતા હતા. આસપાસના 9 BLOના સુપરવાઇઝર નિશાદ કુરેશી અહીં હાજર હતા. તેમણે ભાસ્કર સાથે વાત કરી હતી. 7-8 સ્થળો પર કેમ્પ ઊભા કરાયાનિશાદ કુરેશી કહે છે, વિરમગામનો આખો મુસ્લિમ વિસ્તાર મારા કાર્યક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવ્યો છે. SIR અંગે લોકોમાં જે ડર છે તેને દૂર કરવા માટે મુસ્લિમ વિસ્તારોમાં 7-8 જગ્યાએ આ રીતે કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. લોકોને ફોર્મ ભરવાથી માંડીને જૂની મતદાર યાદીમાં તેમનું નામ શોધવા સહિતની મદદ કરવામાં આવી રહી છે. તેઓ કહે છે કે, કેટલાક લોકો અભણ હોય છે, કેટલાકને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય છે. આવા લોકોને સ્વયંસેવકો ફોર્મ ભરી આપે છે. આ ઉપરાંત જો જૂની મતદાર યાદીમાં તેમનું નામ ન મળતું હોય, તેઓ પહેલા બીજા કોઇ વિસ્તારમાં રહેતા હોય તો તેમનું નામ મતદાર યાદીમાં શોધવામાં પણ મદદ કરવામાં આવે છે. અમે આ ટેન્ટની વ્યવસ્થા કરી સેવા આપતા અગ્રણીઓને પણ મળ્યા. ઇકબાલભાઇ વેપારી સામાજિક કાર્યકર છે. તેઓ કહે છે કે, અમે BLOની સાથે રહી આ પ્રક્રિયામાં તેમની મદદ કરી રહ્યાં છીએ. દરેક અધિકારીઓનો પણ અમને સારો સહકાર મળી રહ્યો છે. આ ફોર્મ ભરવામાં લોકોની મદદ કરવી એ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે. દરેક વિસ્તારના લોકોને આ રીતે મદદ કરવી જોઇએ. અમે કોઇપણ નાત-જાતના ભેદ વગર દરેકની મદદ કરીએ છીએ. અમે આગળ વધ્યા તો જોયું કે મતદારોની મદદ માટેના કેમ્પમાં બીજા એક BLO પૂર્વીબેન ગૌસ્વામી ટિફિનનો ડબ્બો લઇને જમી રહ્યા હતા. અમને જોઇ તેઓ ઊભા થઇ ગયા. તેઓ કેમ્પથી દૂર જઇને જમવાનો પણ સમય અલગથી નથી લેતા. સવારે ટિફિન લઇને આવે છે અને લોકોની મદદ કરતા કરતા વચ્ચે સમય કાઢી કેમ્પમાં જ જમી લે છે. પૂર્વીબહેન 221 વિભાગ અડ્ડાની મસ્જિદ વિસ્તારમાં BLO તરીકે ફરજ બજાવે છે. અમે તેમની સાથે પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે, દરરોજ અમને મળવા અનેક લોકો આવે છે. તેમનો એક જ પ્રશ્ન હોય છે કે મારું નામ મતદાર યાદીમાંથી નીકળી તો નહીં જાય ને. અમે તેમની પૂરતી મદદ કરીએ છીએ અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવીએ છીએ. વૃદ્ધાને પાકિસ્તાન મોકલી દેવાશે તેવો ડર લાગ્યોપૂર્વીબેન સાથેની વાતચીત બાદ ભાસ્કરની ટીમ કેમ્પમાં જ બેઠી અને લોકો કેવા-કેવા પ્રશ્નો લઇને આવે છે તે જાણ્યું. આ દરમિયાન એક અનોખો કિસ્સો જોવા મળ્યો. અહીંના એક વૃદ્ધ મહિલાને પોતાનું નામ નીકળી જશે તો પાકિસ્તાન મોકલી દેવાશે તેવો ડર હતો. જેથી ફોર્મ ન ભરાયું ત્યાં સુધી 2 દિવસ તેઓ જમ્યા પણ નહીં. અમે તેમની સાથે પણ વાતચીત કરી. તેમણે પોતાનું નામ હાઝરા મંડલી જણાવ્યું. તેઓ કહે છે કે, મને બહું ચિંતા હતી. મને એમ હતું કે આ લોકો મને પાકિસ્તાન મોકલી દેશે તો. મારું ઘર અને મિલકત પણ જતી રહેશે પણ મોહસીને ફોર્મ ભરી દીધું. હવે બધુ બરાબર છે. હું મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. હવે મને ચિંતા નથી. તેઓએ વાત પૂરી કરી અને જતા જતા BLOને કહેતા ગયા કે 'હું તને બહું દુઆઓ આપીશ…' આ રીતે BLO સાથે સમય વિતાવ્યા પછી લાગ્યું કે લોકોમાં ડર તો છે પરંતુ જાગૃતિ પણ ખૂબ છે. BLO અને સામાજિક કાર્યકરો સાથે મળીને રાત દિવસ જોયા વગર લોકો માટે કામ કરી રહ્યાં છે. જે મકાનો-સોસાયટી 2002 પછી અસ્તિત્વમાં આવ્યા છે ત્યાં રહેતા લોકોના નામ બીજા વિસ્તારોની યાદીમાં શોધવા પડે છે. જેમનું નામ 2002ની યાદીમાં નથી અને તેમના માતા પિતા હયાત નથી, તેમના કોઇ ડોક્યુમેન્ટ પણ નથી તેવા લોકો મૂંઝવણમાં છે. જો કે તેનો પણ ઉપાય તો છે. આ ઉપરાંત ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં અનેક લોકોએ આ પ્રક્રિયાને CAA-NRC જેવી સમજી લીધી છે. જ્યાં સુધી ફોર્મ ન ભરાય ત્યાં સુધી તેમને એમ હતું કે અમને બાંગ્લાદેશીઓની જેમ દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. જો કે BLO અને સામાજિક અગ્રણીઓ મળી આ લોકોને સમજાવી તેમની ગેરસમજણ દૂર કરી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

એક જ સોસાયટીના પરણિત પુરુષ અને મહિલા ગુમ થયા:બન્નેએ પોતાની હત્યા અને આત્મહત્યા બતાવવા પ્લાનિંગ કર્યું, અફેરની શંકાએ તપાસ કરતા સ્ફોટક ખુલાસા થયા

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત રાજકોટના એક એવા કેસની જેણે પોલીસને અઠવાડિયા સુધી ચકરાવે ચડાવી હતી. એક જ સોસાયટીમાં રહેતા એક પરણીત પુરુષ અને મહિલા ગુમ થઈ ગયા. બીજા દિવસે પોલીસને એક પુરુષની લાશ મળી જે ગુમ થયેલા યુવકની હોવાનું તેના જ પરિવારે સ્વીકાર્યું. પરિવારના લોકોએ લાશની અંતિમવિધિ પણ કરી નાખી. પરંતુ અઠવાડિયા બાદ આ જ યુવક અમૃતસરની એક હોટલમાંથી જીવતો ઝડપાયો. તો સવાલ એ હતો કે અંતિમ સંસ્કાર કર્યો એ લાશ કોની હતી અને એ જ સોસાયટીમાંથી ગુમ થયેલી મહિલાનું સસ્પેન્સ શું હતું? 2008માં જાન્યુઆરી મહિનાની હાડ થીજવતી ઠંડીનો માહોલ હતો. રાજકોટના રસ્તા રાતના સમયે એકદમ શાંત હતા. એકલ દોકલ લોકો રસ્તા પર દેખાતા હતા. આવા સમયે એક PCR વાન ધીમી ગતિએ અલગ-અલગ વિસ્તારમાં ફરી રહી હતી. સુમસાન માહોલમાં કોઈ ક્રાઇમ ન થઈ જાય એ હેતુથી પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. PCR વાન કોઠારિયા રોડ પર પહોંચી ત્યાં તો વાયરલેસ પર મેસેજ આવ્યો. પુરુષાર્થ સોસાયટીમાં વિસ્મિતા વોરા નામની પરિણીત મહિલા ઘરેથી ગુમ થઈ છે. કંટ્રોલરૂમમાં ફોન હતો, ઝડપથી ઘટનાસ્થળે પહોંચો અને તપાસ શરૂ કરો. PCR વાનમાં બેઠેલા પોલીસકર્મીએ તરત જવાબ આપ્યો. અમે નજીકમાં જ છીએ. થોડી જ વારમાં પહોંચીએ છીએ. કોઈ વધુ વિગતો હોય તો આપો. સામે વાત કરી રહેલા કંટ્રોલરૂમના કર્મચારીએ પોતાની પાસે જેટલી માહિતી હતી એ આપી અને વાયરલેસ પર વાત પૂરી થઈ. થોડી જ મિનિટોમાં પોલીસની વાન સાયરન વગાડતી પુરુષાર્થ સોસાયટીમાં પહોંચી ગઈ. બન્ને તરફ ટેર્નામેન્ટ અને વચ્ચે સોસાયટીનો પહોળો રસ્તો. રાતનો સમય હોવા છતાં ઘણા બધા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પરિવારના લોકો ચિંતામાં હતા કે આખરે વિસ્મિતા ક્યાં ગઈ હશે? વિસ્મિતાનો પતિ અને પરિવારના અન્ય સભ્યો ઘણા સગા-સંબંધીઓને ફોન લગાવીને વિસ્મિતા આવી છે કે કેમ? એ સવાલ પૂછી ચૂક્યા હતા. તમામ લોકોએ લગભગ એક સરખો જવાબ આપ્યો હતો કે ના… વિસ્મિતા અમારા ઘરે નથી આવી. આખરે કંઈક અજૂગતો બનાવ બની ગયો હોવાની આશંકાએ પરિવારે છેલ્લે પોલીસની મદદ લેવાનું વિચાર્યું હતું. રાજકોટની હુડકો પોલીસચોકીના કર્મચારીઓએ સૌથી પહેલા પરિવારના લોકોની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી. વિસ્મિતા ક્યાંની છે? લગ્ન ક્યારે થયા હતા? છેલ્લે તેણીને કોણે જોઈ હતી? ઘરમાં કોઈ ઝઘડો થયો હોય કે પછી મનભેદ હોય એવી ઘણી બધી વિગતો એકઠી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિસ્મિતા ગુમ થવા પાછળનું કોઈ નક્કર કારણ પોલીસને જે તે સમયે તો હાથ ન લાગ્યો. લગભગ 28 વર્ષની પરિણિતાનો સુખી સંસાર ચાલતો હોય તો એ ઘર છોડીને કેમ જાય? આ સવાલ પરિવાર અને પોલીસ બન્નેને પરેશાન કરી રહ્યો હતો. પોલીસ રાત્રે પરિવાર પાસેથી વિગતો મેળવીને પરત ફરી. બીજા દિવસે વિસ્મિતાની શોધખોળ માટેના પ્રયાસ શરૂ થઈ ચૂક્યા હતા. ત્યાં જ એક ચોંકાવનારા સમાચાર પોલીસ સુધી પહોંચ્યા. રાજકોટ પાસે આજી ડેમની પાળ પરથી કેટલોક સામાન મળ્યો. દુપટ્ટો, ચપ્પલ અને સુસાઇડ નોટ. કાગળ પર છેલ્લે વિસ્મિતાનું નામ લખ્યું હતું. એટલે ભક્તિનગર પોલીસની ટીમ આજી ડેમ પહોંચી. આ જ અરસામાં વિસ્મિતાના પરિવારજનો પણ આજી ડેમ દોડી ગયા. તમામ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. કારણ કે પરિવારના લોકોએ દુપટ્ટો અને ચપ્પલ જોતા જ કહી દીધું, આ તો વિસ્મિતાના ચપ્પલ અને દુપટ્ટો છે. સુસાઇડ નોટમાં લખેલા અક્ષર પણ વિસ્મિતાના જ હોવાનું પરિવારે કબૂલાત કરી. સુસાઇડ નોટમાં લખેલું હતું, હું જીવવા લાયક નથી. મારા પતિને માફ કરજો. જો કે સુસાઇડ નોટ વાંચ્યા પછી પણ વિસ્મિતાની જીંદગીમાં શું-શું ચાલતું હતું? જેના કારણે તેણે મરવું પડ્યું એ સ્પષ્ટ નહોતું થતું. પોલીસે તુરંત ફાયરબ્રિગેડની ટીમને બોલાવી ડેમમાં લાશની શોધખોળ શરૂ કરાવી દીધી. સુસાઇડ નોટ વાંચીને વિસ્મિતાનો પરિવાર અને એમાં પણ તેનો પતિ ચોંધાર આંસુએ રડી રહ્યો હતો. પણ આ હાવભાવ વચ્ચે પણ પીઆઈ એમ.વી.પરમારના મનમાં એક સવાલ ભમતો હતો, વિસ્મિતાએ આપઘાત કર્યો છે કે પછી તેની કોઈએ હત્યા કરી હશે? વિસ્મિતાની લાશ હજુ મળી ન હતી. પોલીસની એક ટીમ નવા એન્ગલથી પરિવારના લોકોની ફરી એકવાર પૂછપરછ કરવામાં લાગી ગઈ હતી. ત્યાં જ એક નવા સમાચારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ફરીથી દોડતા કરી દીધા. આ વખતે પણ ક્રાઇમના કેન્દ્રમાં વિસ્મિતા રહેતી હતી એ જ પરમેશ્વર સોસાયટી હતી. આ સોસાયટીમાં રહેતા વિમલ રામાણીની લાશ તેના કારખાનામાંથી મળી આવી હતી. વિમલની લાશને જોતા એટલું તો સ્પષ્ટ હતું કે તેણે આત્મહત્યા નથી કરી. પરંતુ કોઈકે આવીને વાયરથી ગળુ દબાવીને વિમલને મારી નાખ્યો હતો. ત્યાર બાદ કેરોસિન છાંટીને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માત્ર ચહેરો જ આગમાં બળી ગયો હતો. બાકીના ઘણા અંગે સળગ્યા ન હતા. લાશ સળગાવી દેવામાં આવી હોવાથી ચહેરો જોઈને તો ઓળખ થઇ શકે તેમ ન હતી. પરંતુ કપડા, બુટ પરથી હિરેન રામાણીએ મૃતદેહ તેના ભાઇ વિમલનો હોવાનું કહી દીધું. હવે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હત્યા કોણે અને શા માટે કરી ? એ જાણવા પીઆઇ એમ.વી.પરમાર અને ટીમે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. પોલીસ કારખાનાના એકેએક ખૂણે ફરી વળી. પરંતુ ચોરીના ઇરાદે હત્યા થઈ હોવાના કોઈ પુરાવા ન મળ્યા. કારખાનામાં કામ કરતા લોકોની પૂછપરછ કરી પરંતુ જ્યારે હત્યા થઈ ત્યારે રજાનો દિવસ હોવાથી કોઈએ હત્યારાને આવતો-જતો નહોતો જોયો. એટલું જ નહીં, રજાના દિવસે વિમલ રામાણી શા માટે કારખાને આવ્યો હતો? એ પણ પોલીસના મનમાં સવાલ હતો અને આ સવાલનો જવાબ વિમલના પરિવારના લોકો પાસે પણ ન હતો. પરિવારના લોકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે વિમલ રામાણીના એક મહિના પહેલા જ ધામધૂમથી લગ્ન થયા હતા. કોઈની સાથે દુશ્મનાવટ ન હતી. પરિવાર ઉપરાંત સોસાયટીમાં પણ તમામ લોકો સાથે સંબંધો સારા હતા અને કામધંધો પણ એવો હતો કે જેના કારણે કોઈની સાથે દુશ્મનાવટ ઉભા થવાની સંભાવના ન હતી. વિમલ એક જગ્યા ભાડુ રાખીને ત્યાં બંગડીનું કારખાનું ચલાવતો હતો. વિમલના ભાઈએ રડતાં-રડતાં પોલીસને કહ્યું, સાહેબ, મારો ભાઈ તો એક મહિના પહેલાં જ પરણ્યો હતો! કોણે આવું કર્યું? તેની પત્ની તો હજી ઘરે રડે છે! પીઆઈ પરમારે કહ્યું, ચિંતા ન કરો, અમે તપાસ કરીશું. હવે પોલીસ સામે એક જ સોસાયટીમાં બે-બે લોકોના ભેદી સંજોગોમાં મોતની તપાસ હતી. પ્રાથમિક ધોરણે વિમલની હત્યા અને વિસ્મિતાએ આત્મહત્યા કરી હોવાનું માનીને પોલીસે તપાસ આગળ વધારી. પોલીસે વિસ્મિતાના પતિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો. હજુ સુધી તેણીની લાશ નહોતી મળી. એટલે ઘણી શંકા-કુશંકા અને સવાલો હતા. વિસ્મિતાના લગ્ન પણ થોડા સમય પહેલાં જ થયા હતા. અચાનક પત્નીના મોતથી તેનો પતિ પણ આઘાતમાં હતો. પોલીસનું તેડું આવતા તે સવાલોનો જવાબ આપવા માટે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે એક બાદ એક સવાલોનો મારો શરૂ કર્યો. જવાબમાં વિસ્મિતાનો પતિ બોલ્યો, સાહેબ, મારી પત્ની આપઘાત કરી લીધો એ માનવામાં જ નથી આવતું? અમે તો ખુશ હતા. પોલીસકર્મીઓએ અત્યાર સુધી જેટલા પણ સવાલ કર્યા તેના જવાબ વિસ્મિતાના પતિએ સંતોષકારક રીતે આપ્યા. હવે પીઆઇ એમ.વી.પરમારે પૂછપરછની શરૂઆત કરી. પીઆઈ પરમારે તીક્ષ્ણ નજરે વિસ્મિતાના પતિ સામે જોઈને ગૂગલી જેવો સવાલ કર્યો, તમે જાણો છો કે વિસ્મિતા અને વિમલ વચ્ચે અફેર હતું? વિસ્મિતા પતિનો ચહેરો ફિક્કો પડી ગયો, પરંતુ તેણે શાંતિથી કહ્યું, ના… મને આવી કોઈ ખબર ન હતી. વિસ્મિતાનો પતિ સમજી ગયો કે અફેરની શંકામાં બન્ને લોકોની હત્યા થઈ હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને શંકાની સોય તેના તરફ છે. એટલે તેણે સામે ચાલીને કહી દીધું કે, સાહેબ, મારો ફોન ચેક કરી લો અને હું આ બનાવ બન્યો ત્યારે ક્યાં હતો એ લોકેશન પણ ચેક કરાવી લો. એટલે તમને સંતોષ થઈ જાય. વિસ્મિતાના પતિના અવાજમાં થોડો ગુસ્સો અને સાથે જ સત્ય હોવાનું સિનિયર પોલીસ અધિકારીને અનુભવથી ખ્યાલ આવી ગયો. એટલે તેને જવા દીધો. જો કે હજુ સુધી વિસ્મિતાની લાશ મળી ન હતી. વિસ્મિતા અને વિમલના ગુમ થવા પાછળનું કારણ પ્રેમપ્રકરણ જ હતું?વિસ્મિતાના કપડા મળ્યા પણ લાશ ન મળી, એની પાછળનું રહસ્ય શું હતું?જો બન્ને પ્રેમી હતા તો વિમલની હત્યા કોણે કરી? રાજકોટમાં 17 વર્ષ પહેલા ફિલ્મી સસ્પેન્સની માફત બનેલી આ ઘટનાનો બીજો અને અંતિમભાગ વાંચો આવતીકાલે સવારે 6 વાગ્યે

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

ધીરુભાઈ અંબાણીએ જૂનાગઢમાં ભજીયાંની લારી ચલાવી:મમ્મીએ ઠપકો આપતા સીંગતેલ વેચ્યું ને કહ્યું- 'તમે ચિંતા ના કરો, હું ઢગલામોંઢે રૂપિયા કમાઈશ', ત્રીજી પેઢી શું કરે છે?

એકવાર એક વ્યક્તિએ ધીરુભાઈને પૂછ્યું કે તમે જીવનમાં ક્યારેય ગીતા વાંચી છે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તે તો ગીતાના આદર્શોથી જીવન જીવે છે. અંબાણીનું નામ આજે ઘેર-ઘેર જાણીતું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નામ ભારતમાં જ નહીં, દુનિયા આખીમાં લોકપ્રિય છે. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર બિઝનેસમેન છે, પરંતુ તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ક્લાર્ક બનીને અથાગ પરિશ્રમથી આ મેગા અમ્પાયર ઊભું કર્યું છે. 'લક્ષાધિપતિ'ના આજના બીજા એપિસોડમાં આપણે. વાત કરીશું અંબાણી પરિવારની. ધીરુભાઈએ કેમ સ્મશાનમાં આખી રાત વિતાવી, આઇસક્રીમ માટે મધદરિયે પડતું મૂક્યું. અંબાણી પરિવારની ત્રીજી પેઢી કયા બિઝનેસ સંભાળે છે. અંબાણી પરિવારની બે દીકરીઓ શું કરે છે... શિવરાત્રિમાં ભજીયાંની લારી ચલાવીઆઝાદી પહેલાં જૂનાગઢ સ્ટેટના ચોરવાડમાં શિક્ષક હીરાચંદ અંબાણીને ત્યાં 28 ડિસેમ્બર, 1932ના રોજ ધીરજલાલ (ધીરુભાઈ) અંબાણીનો જન્મ થયો. પરિવારમાં ધીરુભાઈ પાંચમું સંતાન હતા. પિતા શિક્ષક તો માતા જમનાબહેન ઘર સંભાળતાં. શિક્ષક પરિવાર એટલે પૈસા એટલા બધા પણ નહોતા. ધીરુભાઈમાં નાનપણથી જ વેપારની કુનેહ રહેલી હતી. એકવાર જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ભરાયો તો ધીરુભાઈએ મિત્રો સાથે મળીને મેળામાં ભજીયાંની લારી લગાવી હતી અને તેમાંથી પૈસા કમાયા હતા. ગામડું હોવાથી પાણીની સમસ્યા તો અવારનવાર રહેતી તો ધીરુભાઈ ધોમધખતા તાપમાં ત્રણ કિમી પગપાળા ચાલીને પીવાનું પાણી ઘર માટે ભરીને લાવતા. માતાએ ઠપકો આપ્યોએકવાર માતાએ ધીરુભાઈ ને મોટા દીકરાને એમ કહ્યું કે જુવાન હોવા છતાં તેઓ પરિવારમાં બે પૈસા કમાઈને ઘર ચલાવવામાં સહેજ પણ મદદ કરતા નથી. આ વાત ધીરુભાઈને લાગી આવતાં તેઓ સ્થાનિક વેપારી પાસેથી સીંગતેલનો ડબ્બો લઈ આવ્યા ને પછી તેમણે છૂટક વેચાણ કરીને કમાણીના પૈસા માતાને આપતાં કહ્યું હતું, 'જોયું ને.. પૈસા કમાવવા તો કેટલા સહેલા છે. તમે ચિંતા ના કરો. હું ઢગલામોંઢે રૂપિયા કમાવાનો છું.' બોર્ડિંગ સ્કૂલમાં માત્ર બે જોડી કપડાં સાથે ગયાધીરુભાઈ વધુ અભ્યાસ માટે બોર્ડિંગ સ્કૂલમાં ગયા. ત્યાં તેઓ માત્ર બે જોડી કપડાં લઈને ગયા. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ધીરુભાઈને નાનપણથી જ કપડાંનો ઘણો જ શોખ હતો. તેઓ રોજ રાત્રે કપડાં વ્યવસ્થિત વાળીને ગાદલાંની નીચે મૂકતા, જેથી કપડાં ઇસ્ત્રી કરેલાં જેવાં લાગે. ગોળપાપડી આજીવન ફેવરિટ રહીગોળપાપડી (સુખડી) ધીરુભાઈની આજીવન ફેવરિટ હતી. જ્યારે તેઓ 14-15 વર્ષના હતા ત્યારે હોસ્ટેલમાં રહીને ભણતા. હોસ્ટેલમાં અપાતી ગોળપાપડી ટેસ્ટમાં સહેજ પણ સારી નહોતી. ધીરુભાઈએ આ અંગે અનેક ફરિયાદો કરી, પરંતુ કોઈ સુધારો આવ્યો નહીં. અંતે ધીરુભાઈએ મિત્રો સાથે રાત્રે રસોડામાં જઈને જાતે જ ગોળપાપડી બનાવીને ખાવાની શરૂઆત કરી. એકવાર પકડાઈ જતાં બધાને ઠપકો મળ્યો. ધીરુભાઈએ તે ઉંમરે એવો જવાબ આપ્યો કે તમારાથી હોસ્ટેલની મેસ સંભાળાતી ના હોય તો અમને આપી દો અને તેમણે એક આખું વર્ષ હોસ્ટેલની મેસ સંભાળી બતાવી. સ્કૂલમાં હડતાળ પાડીધીરુભાઈના સ્કૂલ સમયનો એક કિસ્સો છે, જૂનાગઢ શિક્ષણ વિભાગે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે સ્કૂલને ગ્રેડ આપવાનું નક્કી કર્યું. આ રીતે સ્કૂલો પર વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભરવાનું દબાણ વધ્યું. આ અન્યાયી નિયમ સામે વિદ્યાર્થીઓએ હડતાળ પાડવાનું નક્કી કર્યું. હડતાળ પડે નહીં તે માટે શિક્ષણ વિભાગના અધિકારીઓએ ધીરુભાઈ તથા અન્ય વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. અન્ય વિદ્યાર્થી પીછેહઠ કરવા તૈયાર થઈ ગયા, પરંતુ ધીરુભાઈ મક્કમ રહ્યા ને તે દિવસે એક પણ પ્રાથમિક શાળા ખૂલી નહીં. ગાંધીજી-સરદાર પટેલની અસર ધીરુભાઈ પર પડીભારતને આઝાદી મળી ત્યારે 1947માં ધીરુભાઈની ઉંમર 15 વર્ષની હતી. તેઓ જૂનાગઢની બહાદુરખાનજી હાઇસ્કૂલ (આજની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ)માં ભણતા ને તેમની જ્ઞાતિની મોઢ વણિકની બોર્ડિંગમાં રહેતા. ભારતને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલનો પણ મહત્ત્વનું યોગદાન છે અને બંને ગુજરાતી હતા. આ બંનેની અસર ધીરુભાઈ પર પણ પડી હતી. બોર્ડિંગમાં રહીને તેમણે જૂનાગઢ વિદ્યાર્થી સમિતિની રચના કરી. આ સમિતિના ધીરુભાઈ મંત્રી હતા. ગાંધીજીના જન્મદિને તેઓ જૂનાગઢની લાઇબ્રેરી આગળ દીવા પ્રગટાવે. ધીરુભાઈ રાત્રે મિત્રો સાથે જૂનાગઢની દીવાલો પર આઝાદી માટેનાં સૂત્રો ને ચિત્રો દોરતા. શર્ટની અંદર ‘જન્મભૂમિ’ ને ‘નવજીવન’ જેવાં અંગ્રેજોએ બૅન મૂકેલાં અખબારોનું વિતરણ કરતા. 1946માં ધીરુભાઈને ખબર પડી કે કનૈયાલાલ મુનશી જૂનાગઢ આવવાના છે. બોર્ડિંગમાં ભણતા વિદ્યાર્થીઓએ કનૈયાલાલ મુનશીનું ભાષણ યોજવાનું નક્કી કર્યું. જૂનાગઢમાં તે સમયે નવાબનું રાજ હતું. નવાબની પોલીસે ધીરુભાઈ ને વિદ્યાર્થી મંડળને ધમકી આપતાં કહ્યું કે મુનશી સાહિત્ય સિવાય રાજકારણ કે આઝાદી અંગે વાત કરશે તો સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. આ સમયે ધીરુભાઈએ કહ્યું, 'જુઓ, આપણે તો એક સાહિત્યકારને બોલાવ્યા છે અને હવે તે બીજી કોઈ વાત કરે તો મામલો તેમની ને પોલીસ વચ્ચેનો છે. આપણે તેમાં કોઈ રીતે જવાબદાર નથી.' રાજકારણમાં જવાની ઈચ્છા હતીમુનશીએ ભાષણ પણ આપ્યું અને આઝાદી અંગે વાત પણ કરી હતી. 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો. જૂનાગઢમાં નવાબે ફરમાન બહાર પાડ્યું કે કોઈએ ધ્વજવંદન કે પ્રભાતફેરી કાઢવી નહીં. ધીરુભાઈએ ડર્યા વગર જૂનાગઢમાં પહેલો ધ્વજ ફરકાવ્યો હતો અને ભાષણ પણ આપ્યું હતું. તેમને પકડીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યા, પરંતુ કિશોર હોવાને કારણે પોલીસે તેમને જવા દીધા. મોડી રાત્રે જ્યારે ધીરુભાઈ બોર્ડિંગ આવ્યા તો તેમનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું. સ્વાતંત્ર્યની લડાઈમાં સક્રિય રહેવાને કારણે એક સમયે ધીરુભાઈ રાજકારણમાં જવા તૈયાર થઈ ગયા હતા. જોકે, પછી તેઓ આગળ વધ્યા નહીં. પેસેન્જર જહાજમાં ટિકિટ ના મળી તો કાર્ગોમાં ગયાધીરુભાઈના મોટાભાઈ રમણિક ભાઈ એડનમાં એ. બીઝ એન્ડ કંપનીમાં નોકરી કરતા. આ કંપનીના બોસ વેકેશનમાં ગુજરાત આવ્યા હતા અને તેમણે ધીરુભાઈનો ઇન્ટરવ્યૂ લીધો હતો ને તેઓ સિલેક્ટ થઈ ગયા. ધીરુભાઈએ 1950માં પહેલી જૂન સુધી ત્યાં પહોંચવું જરૂરી હતું, કારણ કે પછી ઇમિગ્રેશનના નિયમો કંઈક બદલાઈ જતા હતા. મેટ્રિકની એક્ઝામ આપે માંડ મહિનો થયો. તેમણે ઝડપથી પાસપોર્ટ કઢાવ્યો અને પછી એડન જતા જહાજની ટિકિટ બુક કરાવવાનું નક્કી કર્યું, પરંતુ એક પણ પેસેન્જર જહાજમાં ટિકિટ મળી નહીં. અંતે, ધીરુભાઈએ ઈટાલિયન કાર્ગો જહાજ કોબોટોમાં બેસીને એડન જવાનું નક્કી કર્યું. દરિયાઈ મુસાફરીમાં ઘણીવાર દરિયો તોફાને ચઢ્યો. તેઓ ડેક પર બેસીને એડન પહોંચ્યા. અંગ્રેજી શીખી ગયા18 વર્ષની ઉંમરે ધીરુભાઈ એડન તો પહોંચી ગયા, પરંતુ તેમને અંગ્રેજી આવડતું નહોતું. શરૂઆતમાં એ. બીઝ એન્ડ કંપનીમાં ધીરુભાઈ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતા. થોડા સમય બાદ જ પ્રમોશન આપીને શેલ ફિલિંગ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા. અંગ્રેજી વગર અજાણ્યા દેશમાં નોકરી કરવી રમત વાત નહોતી, પરંતુ ધીરુભાઈ આખો દિવસ નોકરી કરે અને રાત્રે અંગ્રેજી સાહિત્ય વાંચે. તેઓ હંમેશાં પોતાની સાથે નાની ડિક્શનરી રાખતા. તેઓ આ રીતે ધીમે ધીમે અંગ્રેજી ટ્રેડ મેગેઝિન વાંચવા લાગ્યા ને તેમાંથી તેમને આયાત-નિકાસમાં રસ પડવા લાગ્યો તો તેમણે આયાત-નિકાસના નિયમો માટે જાણીતી ‘ધ રેડ બુક’નો બરોબર અભ્યાસ કરી લીધો. બપોરે લંચના સમયે ધીરુભાઈ એડનના માર્કેટમાં ફરતા અને ખરીદનાર-વેચનાર વચ્ચે થતાં સોદાઓ જોતા અને તેમાંથી અનુભવ મેળવ્યો. રાત્રિશાળામાં ભણ્યાધીરુભાઈ માત્ર મેટ્રિક ભણીને એડન આવી ગયા. આ જ કારણે ત્યાં તેઓ રાત્રિ શાળામાં જઈને નામું, બુક કીપિંગ તથા ટ્રેડના કાયદાઓ, ટાઇપિંગ શીખ્યા. નામાનું પ્રેક્ટિકલ નોલેજ મેળવવા તેઓ એડનમાં નાની કંપની માધવદાસ માણેકચંદમાં ટ્રેઇની તરીકે જોડાયા ને ત્યાં છ મહિના વગર પગારે કામ કર્યું. એડન સાત વર્ષ રહ્યા. 1955માં કોકિલાબેન સાથે લગ્ન કર્યાં ને તેમને પણ એડન લઈ ગયા. ડિસેમ્બર, 1957માં પત્ની ને બાળકો સાથે ભારત પરત ફર્યા. આ સમયે મોટો દીકરો મુકેશ નવ મહિનાનો હતો. મુંબઈમાં 1959માં બીજા દીકરા અનિલનો જન્મ થયો. 1961માં દીકરી દીપ્તિ ને 1962માં દીકરી નીનાનો જન્મ થયો. પડકારો લેવામાં ક્યારેય પાછા પડતા નહોતાધીરુભાઈને નિકટથી જાણતા લોકોને ખ્યાલ છે કે તેમને એકવાર પડકાર ફેંકવામાં આવે તો તે ક્યારેય પાછી પાની કરે નહીં. નાનપણમાં તેઓ ભૂતથી ગભરાતા નથી તે વાત સાબિત કરવા આખી રાત સ્મશાનમાં પસાર કરી હતી. ગીરના જંગલમાં પોતાના ગમતા સિંહ પાછળ ફરતા. આટલું જ નહીં પાછલી ઉંમરે તેઓ ખંડાલાથી પૂણે સુધી ચાલતા જતા ને પાછા આવતા. એડનના દરિયામાં ઘણીવાર શાર્ક આવી જતી એકવાર ધીરુભાઈ મિત્રો સાથે બોટમાં પાર્ટી કરતાં કરતાં મધદરિયે પહોંચી ગયા હતા. આ સમયે એક મિત્રે શરત લગાવી કે જે કિનારે જઈને પાછા આવે તેને આઇસક્રીમનો મોટો બાઉલ મળશે. વાત પૂરી થાય તે પહેલાં તો ધીરુભાઈ એક મિત્ર સાથે પાણીમાં કૂદી ગયા ને થોડીવારમાં તો આવી પણ ગયા. યાર્ન બજારમાં ઝંપલાવ્યુંધીરુભાઈએ ભારત આવીને થોડાં વર્ષો મરી મસાલા બજારમાં કામ કર્યું. મુંબઈના ભૂલેશ્વરમાં મરી-મસાલાની ઓફિસની બાજુમાં જ યાર્ન માર્કેટ હતું. તેમને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે યાર્ન માર્કેટમાં પૈસા બનાવવાની તક છે. તેઓ આ અંગે કંઈ જાણતા નહોતા તો તેમણે યાર્ન માર્કેટમાં રોજ એક ચક્કર મારવાની શરૂઆત કરી. તેમને ખ્યાલ આવી ગયો કે યાર્નની ક્યારે આયાત કરવી ને ક્યારે વેચાણ કરવું. યાર્ન માર્કેટમાં રોકાણ વધુ જોઈએ, પરંતુ ધીરુભાઈ પાસે એવા કોઈ પૈસા નહીં છતાં યાર્ન માર્કેટમાં ઝંપલાવ્યું. માત્ર એક રૂમ ને એક માણસ સાથે શરૂ કરેલી તેમની કંપનીનું નામ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન. તે સમયે નાના-નાના વેપારીઓ એકબીજા પાસે લોન લેતા. આ ઉપરાંત ગુજરાતી બિલ્ડરો પાસે પૈસા વધારે એટલે તેઓ ઊંચા વ્યાજે પૈસા આપતા. ધીરુભાઈએ વેપારીઓ પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું અને જ્યારે સોદો મોટો થાય તો વ્યાજ ઉપરાંત તેઓ થોડું બોનસ પણ આપતા અને આ જ કારણે રોજ સાંજે ધીરુભાઈની ઓફિસની બહાર બિલ્ડર્સ ને વેપારીઓ પૈસાની થોકડી લઈને લાઈન લગાવતા. ધીરુભાઈ ટૂંક સમયમાં જ યાર્નના બિઝનેસમાં સફળ થયા. 1962ના યુદ્ધમાં ફટકો પડ્યો1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ થતાં યાર્નના ભાવ એકદમ જ ગગડી ગયા. માર્કેટમાં એવી વાતો વહેતી થઈ કે ધીરુભાઈ ખોટ ખાઈને માલ વેચી રહ્યા છે. આ જ કારણે ધીરુભાઈએ નાણાં ધીરતાં લોકોમાં સન્નાટો છવાઈ ગયો. ધીરુભાઈ અફવાથી ડરવાને બદલે તેમણે ઓફિસમાં જાહેરાત લગાવી કે રિલાયન્સને જેણે પણ નાણાં આપ્યા હોય તેમણે તરત જ પૈસા પરત લઈ જવા અને તેમને તેમની પસંદગીની રૂપિયાની નોટમાં પૈસા પરત મળશે. બધાને એવું હતું કે પૈસા પરત લેવા માટે રિલાયન્સની બહાર લાઇન લાગશે, પરંતુ ગણ્યા ગાંઠ્યા જ લોકો પૈસા લેવા આવ્યા. ધીરુભાઈ યાર્ન માર્કેટમાં છવાઈ ગયા. 1964માં તેઓ બોમ્બે યાર્ન મર્ચન્ટ્સ એસિસોયેશન એન્ડ એક્સચેન્જ લિમિટેડના ડિરેક્ટર બન્યા. નરોડામાં નવું સાહસ કર્યું1966માં ભારતમાં રૂપિયાનું સતત અવમૂલ્યન થયું. આ જ કારણે યાર્ન માર્કેટની સ્થિતિ કથળવા લાગી. ધીરુભાઈએ તરત જ અન્ય બિઝનેસમાં જવાનું નક્કી કર્યું. તેમણે સિન્થેટિક કાપડનો પ્રોજેક્ટમાં જવાનું વિચાર્યું તેમણે અમદાવાદના નરોડા વિસ્તારમાં પહેલી મિલ શરૂ કરવાનું નક્કી કર્યું. તે સમયે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું. અમદાવાદમાં સુતરાઉ કાપડ બનતું છતાં ધીરુભાઈએ સિન્થેટિક કાપડ બનાવવાનું જોખમ લીધું. ધીરુભાઈએ સાત માણસોથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી, જેમાંથી એક જ ટેક્સટાઇલ એન્જિનિયર હતો. ધીરુભાઈએ નરોડામાં જે પણ મશીનરી ખરીદતા તો તાલીમ લેવા માટે માણસોને વિદેશ જ મોકલી દેતા. સિન્થેટિક કાપડની ડિઝાઇન માટે ધીરુભાઈએ ટોચના બે ડિઝાઇનર રાખ્યા અને તેની નીચે 300 ડિઝાઇનર તૈયાર કરીને તે વખતે એશિયાનો સૌથી મોટો ડિઝાઇન સ્ટુડિયો બનાવ્યો, જેમાં દર મહિને 500 ડિઝાઇન તૈયાર થતી અને તેમાં ચાર રંગ રહેતા. આ રીતે મહિને 2000 ડિઝાઇન થવા લાગી. ધીરુભાઈએ ‘વિમલ’ બ્રાન્ડનેમથી સિન્થેટિક સાડી ને કાપડ વેચવાનું શરૂ કર્યું. રિટેલર્સ પાસે જાતે ગયાહોલસેલર્સે સાડી ને કાપડ લેવાની ના પાડી ત્યારે ધીરુભાઈએ રિટેલર્સ પાસે જવાનું નક્કી કર્યું. તેઓ તેમની ટીમ સાથે જાતે જ કાપડના તાકા લઈને દુકાને દુકાને ફરતા. આ રીતે હોલસેલરનો છેદ ઉડાવીને માલ સીધો રિટેલર્સને વેચવાનું શરૂ કર્યું. ગ્રાહકો માટે આ તદ્દન નવું કાપડ હતું તો તેમને ઘણું જ પસંદ આવ્યું. આટલું જ નહીં, હિંદી સિનેમામાં પણ આ કાપડનો વપરાશ વધ્યો. મિલ શરૂ કરે માત્ર નવ વર્ષમાં ધીરુભાઈની મિલને બેસ્ટ મિલનું સર્ટિફિકેટ મળ્યું. વિમલ બ્રાન્ડ માટે ધીરુભાઈએ દેશભરમાં ફેશન શો કર્યાવિમલ બ્રાન્ડ લોકોમાં જાણીતી બને તે માટે ધીરુભાઈએ ફેશન શો ને રોડ શોનું આયોજન કર્યું હતું. વિમલના ફેશન શો દેશભરમાં પ્રખ્યાત થયા હતા. 70ના દાયકામાં બેંગ્લોર (આજનું બેંગલુરુ)માં વિમલનો શોરૂમ શરૂ કરવાનો હતો. આ સમયે ધીરુભાઈએ હેલિકોપ્ટરથી ગુલાબની પાંખડીઓનો વરસાદ કર્યો હતો. ઓન્લી વિમલધીરુભાઈ લોકોના મનમાં વિમલ બ્રાન્ડ છવાઈ જાય તે માટે તેમણે અલગ જ રીતે જાહેરાત બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. 1977માં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું બજેટ 10 કરોડ રૂપિયા હતું અને એક બ્રાન્ડનું એવરેજ બજેટ 40-50 લાખ રૂપિયા હોય તે સમયે વિમલ પાછળ ધીરુભાઈએ ત્રણેક કરોડ રૂપિયા માત્ર જાહેરાત માટે ખર્ચ્યા હતા. ‘ઓન્લી વિમલ’ના સ્લોગનથી આ બ્રાન્ડ અન્ય કરતાં ક્યાંય આગળ નીકળી ગઈ. 2 કરોડના ફંડ માટે આઇપીઓ લાવ્યા1977માં મિલના વિસ્તરણ માટે ધીરુભાઈને બે કરોડ રૂપિયાની જરૂર હતી. બેંકે આટલી બધી લોન આપવાની ના પાડી દીધી. આ સમયે ધીરુભાઈએ મધ્યમવર્ગીય પરિવાર પાસેથી પૈસા લેવાનું નક્કી કર્યું. તે સમયમાં શેર માર્કેટ પર માત્ર પૈસાદાર ને એલિટ ક્લાસનો જ દબદબો હતો. મધ્યમ વર્ગ ક્યારેય શેર માર્કેટમાં પૈસા રોકતો નહીં. આ જ કારણે ધીરુભાઈએ રિલાયન્સનો આઇપીઓ બહાર પાડવાનું નક્કી કર્યું. આઇપીઓ આવે તેના મહિના પહેલા ધીરુભાઈની ટીમે અનેક રોડ શો કર્યા ને ધીરુભાઈએ પોતાની વાત મધ્યમ વર્ગને સમજાવી. રિલાયન્સનો ઇશ્યૂ જે દિવસે આવ્યો તે જ દિવસે ‘હિન્દુસ્તાન ડોર ઓલિવર’નો ઇશ્યૂ આવ્યો. છતાં ધીરુભાઈનો ઇશ્યૂ સાતગણો ભરાયો. નાના 59 હજાર રોકાણકારોએ ધીરુભાઈની કંપનીમાં નાણાં રોક્યા. 80ના દાયકામાં ધીરુભાઈએ વિમલ કાપડની જાહેરાતમાં ક્રિકેટર્સને લઈ આવ્યા. આ દેશ માટે તદ્દન નવું જ હતું. 1987માં ભારત-પાકિસ્તાને સાથે મળીને ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું. આ વર્લ્ડ કપને રિલાયન્સે સ્પોન્સર કર્યો અને તે રિલાયન્સ વર્લ્ડ કપ તરીકે લોકપ્રિય થયો. આનો સીધો ફાયદો રિલાયન્સને થયો. 1986માં લકવો થયોફેબ્રુઆરી, 1986માં ધીરુભાઈને લકવો થયો. ડૉક્ટરને તેઓ જલ્દીથી ઠીક થઈ જશે તેવી આશા નહોતી. કેલિફોર્નિયાના સાન ડિયેગોની હોસ્પિટલમાં ધીરુભાઈએ ફિઝિયોથેરપી દિવસમાં બેવાર શરૂ કરીને માત્ર અઠવાડિયામાં સાજા થઈ ગયા. 1988માં પેટ્રોકેમિકલ્સના બિઝનેસમાં ઝંપલાવ્યું1988માં ધીરુભાઈએ મહારાષ્ટ્રના પાતાળગંગામાં પીટીએ (પ્યોરિફાઇડ ટેરેપ્થેલિક એસિડ)નો પ્લાન્ટ નાખ્યો ને એ સાથે જ પેટ્રોકેમિકલ્સમાં રિલાયન્સનું નામ થયું. વર્ષ 2000માં કંપનીની વાર્ષિક સભામાં ધીરુભાઈએ જાહેરાત કરી કે તેઓ હવે તેલ ને ગેસના ક્ષેત્રમાં પ્રવેશ કરશે.1999માં રિલાયન્સે ગુજરાતના જામનગરમાં રિફાઇનરીની શરૂઆત કરી. રિલાયન્સને દેશના પશ્ચિમ તથા પૂર્વ કાંઠે 14 ઓફ શોર બ્લોક ફાળવવામાં આવ્યા. 2002માં રિલાયન્સને ગેસનો ભંડાર શોધવામાં સફળતા મળી. રિલાયન્સ આ ક્ષેત્રમાં ઘણું જ આગળ વધી રહ્યું છે. ટેલિકોમમાં ક્રાંતિવર્ષ 2000 સુધી મોબાઇલ ફોન ઘણા જ મોંઘા હતા. તે સમયે એક મિનિટ વાત કરવાનો ચાર્જ 16 રૂપિયા હતો. ધીરુભાઈને ટેલિકોમમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાયું ને 2002માં ‘રિલાયન્સ ઇન્ફોકોમ’ની સ્થાપના કરી. તે સમયે પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા હતી અને રિલાયન્સના ફોન કોલનો ચાર્જ 40 પૈસા હતો. રિલાયન્સે ટેલિકોમમાં એક ક્રાંતિ સર્જી દીધી. રિલાયન્સના સ્લોગન 'કર લો દુનિયા મુઠ્ઠી મેં..'એ મધ્યમ વર્ગીય પરિવારને મોબાઇલ ખરીદતો કરી દીધો. 24 જૂન, 2002માં ધીરુભાઈને સ્ટ્રોક આવ્યો અને તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. તેઓ એક અઠવાડિયાથી વધુ સમય કોમામાં રહ્યા. અનેક ડૉક્ટર્સે તેમને બચાવવા ભરપૂર પ્રયાસ કર્યા. પરંતુ 69 વર્ષની ઉંમરે 6 જુલાઈ, 2002માં અવસાન થયું. ધીરુભાઈએ પોતાની સંપત્તિની વહેંચણી અંગે કોઈ વસિયત લખી નહોતી અને તેમના અવસાનના થોડા સમય બાદ જ બંને ભાઈઓ અનિલ ને મુકેશ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. અંતે, 2005માં માતા કોકિલાબેનની દરમિયાનગીરીથી રિલાયન્સના બે હિસ્સા પાડવામાં આવ્યા, જેમાં મુકેશ અંબાણીના હિસ્સે જામનગર રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ, તેલ-ગેસ તથા ટેક્સટાઇલ બિઝનેસ આવ્યા, જ્યારે અનિલ અંબાણીને રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર, ફાઇનાન્સિયલ સર્વિસ તથા એન્ટરટેઇનમેન્ટ તથા ટેલિકોમ બિઝનેસ આવ્યા. વાત હવે, ધીરુભાઈ અંબાણીનાં ચારેય સંતાનોની....મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ, 1957માં એડનમાં થયો. 1958માં પરિવાર મુંબઈના ભૂલેશ્વરમાં બે બેડરૂમના અપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યો. ત્યારબાદ તેઓ કોલાબાના 14 માળના ‘સી વિન્ડ’માં રહેવા લાગ્યા. મુકેશ અંબાણીએ ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાંથી પ્રાથમિક ને હાઇસ્કૂલનો અભ્યાસ મુંબઈની ‘હિલ ગ્રેન્જ હાઇ સ્કૂલ’માં ભણ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજીમાંથી બી.ઈ. ઇન કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. 1980માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, પરંતુ પિતાને રિલાયન્સમાં સપોર્ટ કરવા અધવચ્ચે ભણવાનું છોડી દીધું. અંબાણી પોતાના ટીચર્સ વિલિયમ એફ તથા મનમોહન શર્માને ઘણા જ માનતા હતા, કારણ કે તેઓ હંમેશાં આઉટ ઑફ ધ બોક્સ વિચારવા પર ભાર મૂકતા. પિતા ધીરુભાઈએ મુકેશ અંબાણી 24 વર્ષના હતા ત્યારે પાતાળગંગા પ્રોજેક્ટ્સની જવાબદારી સોંપી હતી. આ પ્રોજેક્ટ્સ ઓઇલ રિફાઇનરી માટે મહત્ત્વાકાંક્ષી હતો. ધીરુભાઈ એકવાર ડાન્સ પર્ફોર્મન્સ જોવા ગયા હતા અને ત્યાં નીતા પર્ફોર્મ કરતાં હતાં. તેમને જોતા જ ધીરુભાઈને દીકરા માટે તેઓ ગમી ગયાં. મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે 1985માં લગ્ન કર્યાં. 1991માં ટ્વિન્સ આકાશ તથા ઈશાનો જન્મ થયો. 1995માં અનંત અંબાણીનો જન્મ થયો. ભાગલા બાદ મુકેશ અંબાણીના હિસ્સે જામનગર રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ, તેલ-ગેસ તથા ટેક્સટાઇલ બિઝનેસ આવ્યા. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાગલા પડ્યા ત્યારે શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અનિલ અંબાણીના બિઝનેસને નુકસાન થાય તેવા કોઈ બિઝનેસ મુકેશ અંબાણી કરી શકશે નહીં. આ કોન્ટ્રાક્ટ 2010માં પૂર્ણ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ સેક્ટર કોર્પોરેશન છે. રિલાયન્સની પાસે સિંગલ લોકેશન પર દુનિયાની સૌથી મોટી રિફાઇનરી જામનગરમાં છે. રિલાયન્સની માર્કેટ કેટ 17.5 કરોડ રૂપિયાથી પણ વધારે છે. રિલાયન્સની કોઈ ને કોઈ પ્રોડક્ટ કે પછી સર્વિસ અંદાજે દરેક ભારતીય વાપરે છે. મુકેશ અંબાણી પહેલી જ વાર 2007માં દુનિયાની સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં સામેલ થયા. છેલ્લાં ઘણાં વર્ષોથી મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર બિઝનેસમેનના લિસ્ટમાં ટોચ પર છે. મુકેશ અંબાણીનાં ત્રણેય સંતાનો શું કરે છે અંબાણી પરિવારના દેશ-વિદેશમાં ઘરોઅંબાણી પરિવાર મુંબઈમાં 27 માળના ‘એન્ટિલિયા’માં રહે છે. આ ઘરને મેન્ટેઇન કરવા 600નો સ્ટાફ છે. 160 કાર પાર્ક થઈ શકે તેટલું મોટું ગેરેજ છે. ભારત ઉપરાંત લંડન, દુબઈ, અમેરિકામાં પણ અંબાણી પરિવારનાં ઘર છે. મુકેશ અંબાણી-નીતા અંબાણી આટલા પૈસાદાર હોવા છતાં ઘરમાં ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. તેમનાં સંતાનોનાં લગ્ન ગુજરાતી પરંપરા પ્રમાણે જ કરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં, નવરાત્રિથી લઈને દરેક ફેસ્ટિવલ એન્ટિલિયામાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. નીતા અંબાણી સ્કૂલ સંભાળી રહ્યાં છેનીતા અંબાણીએ મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરી છે. આ સ્કૂલમાં બોલિવૂડ, ક્રિકેટર્સના સંતાનો ભણતાં હોય છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી તથા મુંબઈમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકેલ ટેક્નોલોજી પણ છે. નીતા અંબાણીએ વર્લ્ડ ક્લાસ નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં આર્ટ ને મ્યૂઝિકલ શો થતાં હોય છે. નીતા અંબાણી IPLમાં ‘મુંબઈ ઇન્ડિયન્સ’ ટીમ પણ ધરાવે છે. અનિલ અંબાણીનો જન્મ 4 જૂન, 1959માં મુંબઈમાં થયો. અનિલ અંબાણીએ કિશનચંદ છેલ્લારામ કોલેજમાંથી B.Scમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ પેન્સિલવેનિયામાંથી MBA કર્યું. 1984માં પિતાના બિઝનેસમાં જોડાયા. પિતાના અવસાન બાદ તેમના હિસ્સામાં રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, રિલાયન્સ પાવર, ફાઇનાન્સિયલ સર્વિસ તથા એન્ટરટેઇનમેન્ટ તથા ટેલિકોમ બિઝનેસ આવ્યા. 2008માં અનિલ અંબાણી રિલાયન્સ પાવરનો આઇપીઓ લાવ્યા અને માત્ર 60 સેકન્ડ્સમાં આઇપીઓ ભરાઈ ગયો હતો. 2008માં 42 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ અનિલ અંબાણીએ 2020માં બ્રિટનની કોર્ટમાં નાદારી નોંધાવી હતી. ભાગલા બાદ અનિલ અંબાણીએ ઇન્ફ્રા, ડિફેન્સ તથા એન્ટરટેઇનમેન્ટના વિવિધ ફિલ્ડમાં એન્ટ્રી મારી, પરંતુ સફળતા બહુ મળી નહીં. ઉત્તર પ્રદેશના દાદરીમાં ગેસ આધારિત મેગા વીજળી યોજના શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ 2009માં અલ્લાહાબાદ હાઇકોર્ટે જમીન સંપાદિત ડીલ કેન્સલ કરી. ‘એડલેબ્સ’ તથા ‘ડ્રીમવર્ક્સ’ સાથેની ડીલ પણ ખાસ સફળ રહી નહીં. ટેલિકોમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર દેવું વધતા આર્થિક સંકટ ગંભીર બન્યું. 2019માં કંપની નાદારીમાં જતી રહી. તે વર્ષે રિલાયન્સ કમ્યુનિકેશન વિદેશી કંપની એરિક્સન ABના ભારતીય યુનિટને 550 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ રહી અને અનિલ અંબાણી જેલમાં જાય તેવી સ્થિતિ ઊભી થઈ. આ સમયે મોટાભાઈ મુકેશ અંબાણી મદદે આવ્યા અને જેલમાં જતા બચાવી લીધા. ચીનની બેંક પાસેથી 2012માં અનિલ અંબાણીએ લોન લીધી હતી અને આ બેંકે લંડનમાં કેસ કર્યો હતો. આ દરમિયાન લંડનની કોર્ટે 680 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપતા જ અનિલ અંબાણીએ પોતાની પાસે કોઈ જ સંપત્તિ ના હોવાની વાત કહી. 2021માં રિલાયન્સ કેપિટલે પણ નાદારી નોંધાવી અને હાલમાં આ કંપનીને હિંદુજા ગ્રૂપે ખરીદી છે. અનિલ અંબાણીએ બોલિવૂડ એક્ટ્રેસ ટીના મુનીમ સાથે 1991માં લગ્ન કર્યાં. બંનેને બે દીકરા જય અનમોલ તથા જય અંશુલ છે. પરિવાર 2010થી 14 માળની ‘સી વિન્ડ’ બિલ્ડિંગમાં રહે છે. અનિલ અંબાણી રનર છે2003માં અનિલ અંબાણીએ બોસ્ટન મેરેથોન માટે તાલીમ લીધી હતી. ન્યૂ યોર્કની એક ઇવેન્ટમાં અનિલ અંબાણીના વજન પર સવાલ કરવામાં આવ્યો હતો. આ સમયે તેમનું વજન 110 કિલો હતું. ત્યારબાદ અનિલ અંબાણીએ દોડવાનું શરૂ કર્યું. તેઓ અઠવાડિયામાં છ દિવસ 15 કિમી જેટલું રનિંગ કરે છે. મુંબઈમાં 2004થી મેરેથોન શરૂ થઈ છે અને ત્યારથી અનિલ અંબાણી ભાગ લે છે. અનિલ અંબાણીના મતે, તેમના પિતાએ સલાહ આપી હતી, સારાં કપડાં, સારું ભોજન પૈસાથી ખરીદી શકાય છે, પરંતુ સારું સ્વાસ્થ્ય ક્યારેય ખરીદી શકાતું નથી. અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ 2009માં મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ શરૂ કરી છે. 2016માં મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં 18 જેટલા કેન્સર કેર યુનિટ શરૂ કર્યાં છે. નીના કોઠારીએ 1986માં બિઝનેસમેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યાં. તેમને બે બાળકો અર્જુન તથા નયનતારા છે. ફેબ્રુઆરી, 2015માં ભદ્રશ્યામનું અવસાન થતાં એચ.સી. કોઠારી ગ્રૂપનાં ચેરપર્સન નીના કોઠારી બન્યાં. આ ઉપરાંત કોઠારી શુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, કોઠારી સેફ ડિપોઝિટ્સ લિમિટેડ તથા કોઠારી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ પણ જુએ છે. ‘જાવાગ્રીન’ કૉફી તથા ફૂડ કેકે પણ ચલાવે છે. દીપ્તિ સલગાંવકરે ગોવાના બિઝનેસમેન દત્તરાજ સલગાંવકર સાથે લગ્ન કર્યાં. ગોવામાં ફેમસ ફૂટબોલ ક્લબના માલિક પણ છે. ગોવામાં દત્તરાજ ટ્રાવેલ એજન્સી, રિયલ એસ્ટેટ, ફાઇનાશિયલ સર્વિસનું કામ પણ કરે છે. આ ઉપરાંત ગોવામાં મેરિયોટ રિસોર્ટ તથા સ્પા છે. દીપ્તી તથા દત્તરાજને એક દીકરી ઇશિતા છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 2016માં ઇશિતાએ નીરવ મોદીના ભાઈ નીશાલ મોદી સાથે લગ્ન કર્યાં, પરંતુ તે લાંબું ટક્યાં નહીં. 2022માં ઇશિતાએ ‘નેક્સઝૂ મોબિલિટી’ના ફાઉન્ડર અતુલ્ય મિત્તલ સાથે ફેરા ફર્યા. જ્યારે દીકરો વિક્રમ વી. એમ. સાલગાંવકર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે. રેફરન્સ બુક્સઃ1. ધીરુભાઈઝમ2. ધીરુભાઈ અંબાણીઃ અવરોધોની આરપાર હિંમત, ધીરજ અને દીર્ઘદૃષ્ટિની અમરકથા (‘લક્ષાધિપતિ’ના ત્રીજા એપિસોડમાં વાંચો, ‘નિરમા’ના ફાઉન્ડર કરસનભાઈ પટેલની કહાની. કેવી રીતે તેમણે નિરમા કંપની ઊભી કરી, આજે તેમનાં સંતાનો શું કરે છે, નિરમા કંપનીએ કેવી રીતે મલ્ટિનેશનલ કંપનીઓને ટક્કર આપી?)

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

21 નવેમ્બર સુધી આઇએસએસઓ નેશનલ સ્પર્ધાનું આયોજન:નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં દેશના 800 ખેલાડી વચ્ચે બાસ્કેટબૉલ-હેન્ડબૉલનો જંગ

નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ 17થી 21 નવેમ્બર દરમિયાન 7માં આઇએસએસઓ નેશનલ બાસ્કેટબૉલ અને હેન્ડબૉલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના પ્રતિક્ષિત સ્પોર્ટ્સ મહોત્સવમાં દેશભરના 35 પ્રતિષ્ઠિત શાળાઓ અને લગભગ 800 વિદ્યાર્થી-ખેલાડીઓ ટોચના ખિતાબો માટે હરીફાઈ કરશે. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્પોર્ટ્સમેનશીપ, ટીમવર્ક, ખેલ કુશળતા તથા આંતરસાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહિત કરવાનો છે. કેમ્પસ વિશ્વસ્તરની સ્પોર્ટ્સ સુવિધાઓ, તાલિમબદ્ધ અધિકારીઓ અને સુવ્યવસ્થિત આયોજન સાથે યાદગાર અને વ્યાવસાયિક ટુર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉદઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ યુવા ખેલાડીઓને ઉત્તમતા તરફ આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:57 am

કોમર્સના વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવા ABVPની માગ:NCCના 70 વિદ્યાર્થીને રેજિમેન્ટ નંબર ન અપાતાં ડીનને રજૂઆત

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એનસીસીમાં સીલેકશન કરવામાં આવે તથા 70 જેટલા વિદ્યાર્થીઓના રેજીમેન્ટ નંબર અપાયા નથી તે મુદ્દે એબીવીપીએ કોમર્સ ડીનને રજૂઆતો કરી હતી. એબીવીપીના વિદ્યાર્થી આગેવાનએ જણાવ્યું હતું કે એનસીસીમાં કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એનસીસીમાં સેલેક્શન કરવામાં નથી આવ્યું તથા ગયા વર્ષ પણ અંદાજીત 70 જેટલા વિદ્યાર્થીઓને રેજીમેન્ટ નંબર અપાયા નથી. આ વિદ્યાર્થીઓ કોઇ કેમ્પમાં ભાગ લઇ શકતા નથી. એફવાય બીકોમના જે વિદ્યાર્થીઓને સિલેક્ટ નથી કરવામાં આવ્યા તેમનું સીલેકશન કરવામાં આવે તેવી માંગણી સાથે આ વિષયનો વિદ્યાર્થી હિતમાં નિરાકરણ નિર્ણય લેવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:57 am

મહિલાઓની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવો પ્રયત્ન:સાવલી દશાદિશાવાળ વણિક યુવા મહિલા સમાજનું સ્નેહમિલન,મહિલાઓએ ડાન્સ-ગીત,શ્લોકો રજૂ કર્યા

સાવલી દશાદિશાવળ વણિક યુવા મહિલા સમાજ દ્વારા આજ રોજ હરણી રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ પ્રીતિ શાહ અને ઉપપ્રમુખ અમિતા મજમુન્દાર માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના અંદાજે 35 જેટલા મહિલાઓ તેઓમાં છુપાયેલી પ્રતિભાઓ, કૃતિઓ અને કલાત્મક રજૂઆતો કરવામાં આવી હતી. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન લાયન્સ ક્લબના જયેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું . સમાજના સર્વાંગી વિકાસ અને બહેનોની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે દિશામાં આ સ્નેહમિલન સમારોહ સફળ પુરવાર થયો હતો.કાર્યક્રમમાં 75 વર્ષના વૃદ્ધાએ કેરીઓક દ્વારા સુંદર ગીતની પ્રસ્તુતી કરી હતી. કાર્યક્રમમાં વણિક સમાજના પ્રમુખ સુનિલ શાહ, કોર્પોરેટર ડૉ. રાજેશ શાહ , તેમજ વિવિયના ગ્રુપના નિકેશ ચોકસી હાજર રહ્યા હતા. ભાસ્કર નોલેજ સરભાણ પટેલ પરિવાર દ્વારા 28મા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરાયુંસરભાણ પટેલ પરિવાર દ્વારા સતત 25 વર્ષથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકો એક-બીજાને ઓળખે તેવો છે. આ સાથે કાર્યક્રમમાં બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કાર્યક્રમમાં 250 પરિવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને મહિલાઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં મહિલાઓએ હર્ષોઉલ્લાસ સાથે ભાગ લીધો હતો. 6 વર્ષની બાળકીએ ગીતા શ્લોક મોઢેે બોલ્યાકાર્યક્રમમાં બાળકોથી માંડીને વૃદ્ધ મહિલાએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી હતી. જેમાં પ્રાંતી તલાટી નામની માત્ર 6 વર્ષની બાળકીએ ગીતાના શ્લોક મોઠે બોલી લોકોને સંભાળાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:56 am

ભાસ્કર એક્સક્લુસિવ:મહંત સ્વામીના 92મા જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે 1700 બાળકોએ આદર્શ પૂજાનો કરવાનો સંકલ્પ લીધો

બીએપીએસ સંસ્થામાં ગુરુપદે બિરાજમાન થયા બાદ પ્રથમ વખત મહંત સ્વામી મહારાજનો વડોદરામાં 2 ફેબ્રુઆરીના રોજ 92મો જન્મ જયંતી મહોત્સવ ઊજવવામાં આવશે. આ મહોત્સવને પગલે વડોદરાના 1700 બાળકોએ આદર્શ પૂજા કરવાનો નિયમ લીધો છે. આ સાથે 16મીએ વડોદરામાં અટલાદરા, માંજલપુર, તરસાલી સહિત 25 બીએપીએસ મંદિરોમાં 6 થી 13 વર્ષના 1250 બાળકોએ સમૂહ પૂજામાં ભાગ લીધો હતો. મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી 2 લાખથી વધુ ભક્તો વડોદરા આવશે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જન્મ જયંતી મહોત્સવમાં આવવાના હોવાથી તે માટે સંસ્થા દ્વારા વડોદરા શહેરની આસપાસ મોટા મેદાનમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. 92મી જન્મ જયંતી નિમિત્તે બે મહિનાથી પ્રતિ માસ એક રવિવારે ‘થઈએ મહંતજીના માનસ પુત્રો’ કેન્દ્ર વર્તી વિચાર અન્વયે રવિ સભા થાય છે. આનંદ સ્વરૂપ સ્વામીએ રવિવારે કેળવીએ દાસત્વ ભાવ વિષયક અદ્ભુત વક્તવ્ય રજૂ કર્યું હતું. સાથોસાથ જણાવ્યું હતું કે દાસત્વ ભક્તિએ ઉપાધિ નહીં પરંતુ ઉપલબ્ધિ છે. આ સભામાં આશરે 7 હજારથી વધુ ભાવિક ભક્તો એક સરખા ગણવેશ પરિધાન કરી શિસ્તબદ્ધ રીતે આસનસ્થ હતા. પૂ.મહંત સ્વામીએ લખેલા સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક 15 હજાર બાળકે મોઢે કર્યામહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં શ્ર્રેય-પ્રેય એટલે કે આલોકથી પરલોક વિશે 315 સંસ્કૃત શ્લોકમાં વર્ણન કર્યું છે. આ શ્લોકને દેશ-વિદેશના 15,666 બાળકોએ મોઢે કર્યા હતા. જેમાં વડોદરાના 1247 બાળકોએ પણ મહંત સ્વામી મહારાજની 92મા જન્મ જયંતી મહોત્સવને લઈને આ શ્લોક મોઢે કર્યા છે. ભાસ્કર નોલેજ આદર્શ પૂજા એટલે શું ?

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:53 am

ખોરાક શાખાની ટીમનું ચેકિંગ:સુરસાગર પાસે પાણીપૂરી વેચતા ઠેલા પર ચેકિંગ, બટાકા-પાણીનો નાશ

શહેરના સુરસાગર તળાવ પાસે પાણીપૂરીનું વેચાણ કરતા ઠેલા પર પાલિકાની ખોરાક શાખાની ટીમે સોમવારે સાંજે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ખોરાક શાખાની ટીમે બટાકાનો અખાદ્ય જથ્થો તેમજ પાણીપૂરીના પાણીને ગટરમાં નાખી નાશ કર્યો હતો. બીજી તરફ ખોરાક શાખાની ટીમે ન્યૂ સમા રોડ, દાંડિયાબજાર, પ્રતાપનગર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, ગોરવા, સમતા, અલકાપુરી સહિતના વિસ્તારમાં 20 યુનિટ પર ચેકિંગ કર્યું હતું. જેમાં ટીમે તુવેર દાળ, મસાલા, તેલ, સેવ, પનીર ટીક્કા મસાલા અને લોટના 6 નમૂના લઇને તેને તપાસ સાથે મોકલી આપ્યા છે. આ કામગીરી દરમિયાન ગંદકી ધ્યાને આવતાં ખોરાક શાખાએ સ્વચ્છતા જાળવવા માટે નોટિસ આપી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:51 am

વડોદરા એરપોર્ટ ઉપર થશે સઘન ચેકિંગ:એરપોર્ટ પર મુસાફરોને મૂકવા આવતી કાર,સામાનનું પણ સઘન ચેકિંગ કરાશે

દિલ્હીની બ્લાસ્ટની ઘટના બાદ વડોદરા એરપોર્ટ પર સોમવારે એરપોર્ટ ઓથોરિટી, વડોદરા પોલીસ, વાયુસેના અને સીઆઈએસએફના અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય સુરક્ષાની સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને એરપોર્ટ પર મુસાફરોને મૂકવા આવતી કાર, મુસાફરો અને સામાનનું સ્કેનિંગ કરી સઘન તપાસ કરવા સૂચના અપાઈ હતી. સાથે એરપોર્ટના કર્મીને શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીને જાણ કરવા જણાવાયું છે. નોંધનીય છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતનાં રાજ્યોને હાઈ એલર્ટ પર રખાયાં છે. સાથે દેશભરનાં સુરક્ષા દળ પણ હાઈ એલર્ટ પર છે. ભાસ્કર ઇનસાઈડએરપોર્ટના ફનલ એરિયામાં ક્રાઇમ બ્રાંચ,એસઓજી દ્વારા તપાસ કરાશે​​​​​​વડોદરા એરપોર્ટ પર સુરક્ષા પ્રણાલીને કેવી રીતે વધુ સારી કરી શકાય તે માટે સોમવારે બ્રીફિંગનું આયોજન થયું હતું. જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કહ્યું કે, એરપોર્ટથી પ્લેન ઉડાન ભરે અને લેન્ડ કરે તે વિસ્તારને ફનલ એરિયા કહે છે. જેની 3 લેયર સિક્યુરિટી તેમજ એરપોર્ટની આસપાસના રહેણાક વિસ્તારોમાં ક્રાઈમ બ્રાંચ, એસઓજી સઘન તપાસ કરશે. ખાસ કરીને કોઈ આતંકી તત્ત્વો નામ બદલી ભાડુઆત તરીકે તો નથી રહેતા ને, તે દિશામાં પોલીસ ખાસ તપાસ કરશે. ઉપરાંત એરપોર્ટની બહારના વિસ્તારનાં દબાણોની તપાસ પોલીસે શરૂ કરી છે. ઇનસાઇડ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:50 am

ભાસ્કર ફોલોઅપ:વિશ્વામિત્રીમાં કચરો કોણ ઠાલવી ગયું? 20 સીસીટીવી ચકાસાશે

અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રીના પટમાં અસામાજિક તત્ત્વોએ કચરો ઠાલવતાં તંત્ર દોડતું થયું છે. પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અને દક્ષિણ ઝોનના અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લઈને કાર્યવાહી શરૂ કરી છે. આ તત્ત્વોને શોધી કાઢવા મંગળવારથી 20 સીસીટીવીના ફૂટેજ ચકાસાશે. શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશક પૂર બાદ નદીની સફાઈ કરાઈ છે. હ્યૂમન રાઈટ કમિશન દ્વારા ગઠિત કમિટીએ નદીમાં ઠલવાયેલા કાટમાળને હટાવવા સૂચન કર્યું છે. દરમિયાન અટલાદરા ખિસકોલી સર્કલથી માંજલપુર બ્રિજ તરફ જતા વિશ્વામિત્રીના બ્રિજ નજીક કેટલાંક તત્ત્વો દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો. કોતરોમાં કચરો ઠાલવતાં તંત્ર દોડતું થયું હતું. પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અને દક્ષિણ ઝોનની કચેરીના અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત કરી કચરો કોણે નાખ્યો છે તેની તપાસ શરૂ કરી છે. સોલિડ વેસ્ટ વિભાગે વિસ્તારમાં લગાવેલા પાલિકાના સીસીટીવી ફૂટેજ ચેક કરી કચરો નાખનાર તત્ત્વોને પકડવા અને દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:46 am

સરદાર પટેલની પ્રતિમાનું અપમાન:એકતા યાત્રા બાદ સરદાર પટેલની મૂર્તિને એકલી છોડી

લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જયંતી અંતર્ગત ભાજપ દ્વારા શહેરની 5 વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કર્યું હતું. સંગમ ચાર રસ્તાથી નીકળેલી યુનિટી માર્ચ બાદ સરદાર પટેલની ટેમ્પામાં મૂકેલી પ્રતિમાને તરછોડી દેવાતાં વિવાદ થયો છે. કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન ગણાવી ભાજપના નેતાઓ પાસે માફીની માગ કરી છે. ભાજપ દ્વારા વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત સંગમ ચાર રસ્તાથી નીકળેલી યુનિટી માર્ચમાં ભાજપના નેતાઓ, કાઉન્સિલર અને કાર્યકરો જોડાયા હતા. યુનિટી માર્ચમાં ટેમ્પામાં સરદાર પટેલની પ્રતિમાને લવાઈ હતી. જેના હાર-તોરા કરાયા બાદ યુનિટી માર્ચ શરૂ કરી હતી. યાત્રા બાદ કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર જ પ્રતિમા સાથેનો ટેમ્પો છોડી દેવાયો હતો. આખી રાત સરદાર પટેલની હાર-તોરા કરેલી પ્રતિમા સાથેનો ટેમ્પો ત્યાં પડી રહ્યો હતો. પદયાત્રા બાદ સરદાર પટેલની પ્રતિમા તરછોડી દેવાતાં વિવાદ થયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સ્થળે જઈ વિરોધ કર્યો હતો અને ભાજપના નેતા સરદાર પટેલની માફી માગે તેવી માગ કરી હતી. ભાજપના નેતાઓની કથની અને કરણીમાં ફરક, સરદાર પટેલનું અપમાન કરાયું,જાહેરમાં માફી માગેભાજપ દ્વારા સરદાર પટેલના નામે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી પદયાત્રા બાદ મૂર્તિને જાહેરમાં જ રઝળતી મૂકી છે. જે સાબિત કરે છે કે, ભાજપની કથની અને કરણીમાં તફાવત છે. ભાજપના નેતાઓએ સરદાર પટેલનું અપમાન કર્યું છે. તેઓએ જાહેરમાં માફી માગવી જોઈએ. > ઋત્વિજ જોષી, પ્રમુખ, શહેર કોંગ્રેસ રાવપુરામાં ટ્રેક્ટર ચલાવતા કાઉન્સિલરને પૂર્વ કાઉન્સિલરે નીચે ઊતરવાનું કહેતાં વિવાદરાવપુરામાં ટ્રેક્ટર ચલાવતા કાઉન્સિલરને પૂર્વ કાઉન્સિલરે નીચે ઊતરવા કહેતાં વિવાદસયાજી હોસ્પિટલથી જ્યુબિલીબાગ સુધી યોજવામાં આવેલી એકતા પદ યાત્રામાં વોર્ડ 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. યાત્રા રાવપુરા પહોંચતાં પૂર્વ કાઉન્સિલર વિજય પવારે તેમને ટ્રેક્ટર પરથી ઊતરી જવા કહેતાં વિવાદ થયો હતો. સ્નેહલ પટેલે કહ્યું હતું કે, કદાચ તેમને ટ્રેક્ટર ચલાવતાં નહીં આવડતું હોય એટલે અદેખાઈ આવે છે. બીજી તરફ વિજય પવારે કહ્યું હતું કે, ટ્રેક્ટર પર મૂકેલા બોર્ડમાં વાયર ન ભરાય તે માટે તેઓને ગલીમાં નહીં ચલાવવા કહ્યું હતું. ટ્રેક્ટર પરથી ઊતરવા કહ્યું નથી. હું શરૂઆતથી ટ્રેક્ટરની પાસે જ ચાલતો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:45 am

ભાસ્કર એક્સક્લુસિવ:પાલતુ કૂતરાની ઓનલાઇન નોંધણી કરાશે રસી લીધી છે કે કેમ તેની માહિતી મેળવાશે

શેરી કૂતરા મુદ્દે સુપ્રીમના કડક વલણ બાદ વડોદરા પાલિકા આગામી દિવસોમાં શેરી કૂતરા માટે સમૂહ રસીકરણ કાર્યક્રમ યોજશે. તેની સાથે પાલતુ કૂતરાની નોંધણીની પ્રક્રિયા પણ શરૂ કરાશે. જેમાં પાલતુ કૂતરાનું ક્યારે રસીકરણ થયું અને તેના માલિકે ક્યારે રસી લીધી તે સહિતની માહિતી નોંધાશે. શહેરમાં રોજ અંદાજિત 23 લોકોને શેરી કૂતરા કરડતાં હોવાનો અંદાજ છે. પાલિકા દ્વારા શેરી કૂતરાના રસીકરણ સાથે પાલતુ કૂતરાની નોંધણીની કામગીરી શરૂ કરશે. સરકારના એબીસી રૂલ્સ 2023 મુજબ પાલતુ કૂતરાની નોંધણી કરવા કહેવાયું છે. જેને ધ્યાનમાં રાખી વડોદરામાં પાલતુ કૂતરાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાશે. જાન્યુઆરીમાં પાલિકાના પ્રોજેક્ટને મંજૂરી મળે તેવી શક્યતા છે. નોંધણીનો મુખ્ય હેતુ કૂતરા અને માલિકે રસી લીધી છે કે કેમ, ન લીધી હોય તો જાગૃત કરવાનો રહેશે. આ પ્રક્રિયાથી પાલતુ કૂતરાથી પાડોશીને હડકવાનો ભય નહીં રહે. નોંધનીય છે કે, અમદાવાદમાં ઓનલાઇન, સુરતમાં ઓફલાઇન નોંધણી થાય છે. જાન્યુઆરીમાં પ્રોજેક્ટને મંજૂરી મળવાની શક્યતા, તે પછી નોંધણી શરૂ થશે નોંધણી નહીં કરાવાય તો પાલિકાની ટીમ ઘરે આવશે પાલિકા દ્વારા શરૂઆતમાં પાલતુ કૂતરા રાખતા માલિકોને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા અપાશે. તેઓએ નક્કી કરેલી શરતો મુજબની માહિતી, પાલતુ કૂતરાનો ફોટો સહિતની વિગત આપવી પડશે. માલિક આમ નહીં કરે તો ભવિષ્યમાં પાલિકા દ્વારા તેમના ઘરે જઈ નોંધણી કરાશે, જે માટે પેનલ્ટી વસૂલવાનું પણ પાલિકા વિચારી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:43 am

સિટી એન્કર:ચિકિત્સા સ્થાપના અધિનિયમમાંથી યોગ-નેચરોપેથી બહાર કાઢ્યા, હવે નેચરોપેથ અને ઝોલા છાપ તબીબની વચ્ચે કોઈ ફેર જ નથી રહ્યો

દેશમાં 18 નવેમ્બરે નેચરોપેથી દિવસની ઉજવણી કરાય છે. જોકે હાલમાં સરકારના નવા કાયદાને કારણે નેચરોપેથી તબીબી પ્રણાલી જોખમમાં મૂકાઈ છે. ફેબ્રુઆરી-2025થી રાજ્ય સ્તરે યોગ અને નેચરોપેથીને ચિકિત્સા સ્થાપના અધિનિયમમાંથી બહાર કરાયું છે. જેથી નેચરોપેથીના તબીબોના ક્લિનિક પર જીએસટીના દરોડા પડી રહ્યા છે. આ મુદ્દે ઈન્ડિયન નેચરોપેથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ, મેડિકલ એસોસિયેશન દ્વારા સરકારને અનેક રજૂઆત કરાઈ છે. એસો.ના અગ્રણી ડો. યશકુમાર દોડેડાએ કહ્યું કે, આ કાયદાનાં ગંભીર પરિણામો સામે આવી રહ્યાં છે. હવે ઝોલા છાપ અને અસલ તબીબો વચ્ચે કોઈ ફેર જ નથી બચ્યો. આ અંગે એસોસિયેશને પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, ગુજરાત રાજ્ય દ્વારા યોગ અને નેચરોપેથીને ચિકિત્સા સ્થાપના અધિનિયમમાંથી બાકાત રાખવું તે સરકારની ભૂલ છે. આ નિર્ણય પહેલાં સરકારે અમારી સાથે વાત કરી નહોતી. સરકારના આ નિર્ણયથી યોગ-નેચરોપેથની પ્રેક્ટિસ કરતા તબીબોના ભવિષ્ય જોખમમાં મૂકાયા છેે. આ પ્રકારનો કાયદો લાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય છે. સાથે જુલાઈ-2021ના જીઆર પ્રમાણે માત્ર એક સંસ્થામાં તબીબ તરીકે નોંધણી કરાવી શકે છે. બાકી અન્ય કોલેજોના વિદ્યાર્થી નોંધણી કરાવી શકતા નથી. જેથી રાજ્યમાં વિદ્યાર્થીઓની નોંધણી અટકી છે. એસોસિયેશનની માગ છે કે, સરકાર તાત્કાલિક ધોરણે યોગ અને નેચરોપેથીને ચિકિત્સા સ્થાપના અધિનિયમમાં સામેલ કરે. રાજ્યમાં નેચરોપેથીના નોંધાયેલા 150 તબીબો છતાં નિમણૂક નહીંરાજ્યમાં 150 રજિસ્ટર્ડ તબીબો છે છતાં આયુષ હોસ્પિટલોમાં નેચરોપેથી તબીબોની નિમણૂક કરાતી નથી. બીજી બાજુ તમિલનાડુ, રાજસ્થાન અને કર્ણાટકમાં તબીબોની ભરતી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:40 am

રોડનું રિસર્ફેસિંગ કરાયું:મોરબીના રામગઢ એપ્રોચ રોડનું રૂ.40 લાખના ખર્ચે રિસર્ફેસિંગ કરાયું

જિલ્લામાં રામગઢ અપ્રોચ રોડની માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૪૦ લાખના ખર્ચે રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડની રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા ગ્રામ્ય પરિવહનમાં મહત્વનું પરિવર્તન આવશે, ઝડપી અને સુલભ વાહન વ્યવહાર શક્ય બનશે. માર્ગ પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા સરકાર દ્વારા અનેક સડકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને હયાત માર્ગોને પણ સુવ્યવસ્થિત જાળવવા સતત પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના આ એક કિલોમીટરના આ માર્ગ પર રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઇ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:33 am

સાત સન્નારીનું અદકેરું સન્માન કરાયું:વાંકાનેરમાં નારીની સુષુપ્ત આવડતોને ઉજાગર કરવા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું

વાંકાનેરમાં ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ તેની સપ્તશક્તિ દ્વારા ઘર પરિવારની રક્ષક,પોષક અને પરિવાહક રહી છે. દરેક નારીના આ સપ્તશક્તિને ધોધ સ્વરૂપે પ્રવાહિત કરવાના ઉદેશથી વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ દ્વારા કે.કે.શાહ વિદ્યાલય ઓડિટોરીયમ હોલ વાંકાનેર ખાતે ‘સપ્તશક્તિ સંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તશક્તિ સંગમ કાર્યક્રમના અધ્યક્ષ વિમ્પલબેન સાકરીયા હતા. અતિથિ વિશેષ પ્રજાપિતા બ્રહ્મા કુમારીના શીલાદીદી અને સારીકા દીદીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 7 નારીઓના સન્માન કરવામાં આવ્યા હતા જેમાં બે સંયુક્ત પરિવારના મોભી માતા એક વિશિષ્ટ સિદ્ધી મેળવનાર સંતાનની માતા, ત્રણ વિક્ટ પરિસ્થિતિ માં સંતાનની કારકિર્દી ઘડનાર માતા અને સેવા અને નારી ઉત્કર્ષ માટે ગુણવંતરાય મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના દમયંતીબેન મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમની પ્રસ્તાવના એલ કે સંઘવીના પ્રધાન આચાર્ય દર્શનાબેન જાનીએ આપી હતી તથા આભાર વિધિ સી કે શાહ વિદ્યાલયના પ્રધાન આચાર્ય મમતાબેન પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વક્તા રિધ્ધીબા જાડેજા દ્વારા કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રીની ભાગીદારી અને ધારાબેન મિરાણી દ્વારા વર્તમાન ભારતમાં સ્ત્રીના સહયોગ વિશે વક્તવ્ય રજૂ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ ખ્યાતીબેન કરથીયાના માર્ગદર્શન હેઠળ સંયોજીકાબેન કલ્પનાબેન રૂપાપરા અને મધુબેન જાદવ તેમજ સમગ્ર વિદ્યાભારતી પરિવારની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 300 જેટલી માતાઓ અને 25 જેટલી વાંકાનેરની કાર્યક્ષેત્રમાં રહેલી પ્રતિષ્ઠિત ડોક્ટર પોલીસ કર્મી શિક્ષક જેવા નારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:28 am

મ્યુનિ. કમિશનરે પ્રતિબંધ મૂક્યો:મોરબીમાં મહાપાલિકાની કચેરી સામે હવેથી કડિયા બજાર નહિ ભરાય‎

મોરબી મનપા કચેરીની સામે જાહેર રોડ ઉપર વર્ષોથી ભરાતી કડીયા બજાર ઉપર હવે મ્યુનિ. કમિશનરે બ્રેક લગાવી છે. અહીં કામદારો રોજગારી માટે મોટી સંખ્યામાં ઉભા રહેવાને કારણે ભીડવાળા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ જતી હોય રોજેરોજ વાહન ચાલકોને ભોગવવી પડતી મુસીબતોને ધ્યાને લઈને મ્યુનિ. કમિશનરે મનપા કચેરી સામે કામદારોને ઉભા રહેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ રોજગારીને ધ્યાને લઈને કામદારોને જેલ રોડ પર આવેલા હોકર્સ ઝોન પાસે ઉભા રહેવાની છૂટ આપી છે. મોરબીની મહાપાલિકા કચેરી સામે શહીદ ભગતસિંહનું સર્કલ આવેલું હોય અને આ ત્રિકોણ ભાગ વર્ષોથી ગાંધીચોક તરીકે ઓળખાતો હોય અહીંથી રવાપર રોડ અને શનાળા રોડ ફંટાતો હોય આ મુખ્યમાર્ગ પર હજારો વાહનો નીકળતા હોવાને કારણે પહેલેથી ટ્રાફિકજામ સર્જાઈ છે. આ મહાપાલિકા કચેરી સામે ગાંધીચોકમાં જાહેર રોડ પર વર્ષોથી મોટી સંખ્યામાં કામદારો ઉભા રહેતા હોવાને કારણે વણલખી કડીયા બજાર તરીકે ઓળખાય છે. દરરોજ વહેલી સવારે ઉભા રહેતા મજૂરો ટોપલાને શહેરની આલગ અલગ ચાલતી બાંધકામ સાઇટ ઉપર કામ કરાવવા માટે કોન્ટ્રાક્ટરો લઈ જતા હોય દરરોજ કામદારો કામે જવા માટે 9 કે 10 વાગ્યા સુધી ઉભા રહેતા હોવાથી ભારે ટ્રાફિકજામ થતો હોવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પ્રવેશદ્વાર નજીક દૈનિક રોજગારી માટે કોઈપણ વ્યક્તિ કે કામદારોને ઊભા રહેવા અથવા એકત્ર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુક્યો છે. કામદારોની રોજગારની જરૂરિયાત જળવાઈ રહે તે માટે મનપાએ વૈકલ્પિક વ્યવસ્થારૂપે કામદારોને મોરબી શહેરના જેલ રોડ હોકર્સ ઝોન, જેલ ચોક નજીક ઊભા રહેવાની મંજૂરી આપી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:21 am

રેલ્વે સ્ટેશનની હાલત દયનીય:મોરબીમાં રાજાશાહી સમયના રેલવે સ્ટેશનના નામ આડે બાવળના ઝુંડનું વર્ચસ્વ

મોરબીના રાજાશાહી સમયના નઝરબાગ રેલ્વે સ્ટેશન આસપાસ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું છે, એટલું જ નહીં, રેલવે સ્ટેશનના નામ આડે પણ બાવળના ઝુંડે પેશકદમી કરી લેતાં પસાર થતી ટ્રેનમાંથી નામ પણ વાંચી શકાય તેવી હાલત રહી નથી. મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા રાજાશાહી સમયના રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ઊંચા પ્લેટ ફોર્મની માગણી બાદ પ્લેટફોર્મ ઊંચું તો કર્યું હતું પરંતુ હવે રેલવે તંત્ર સ્ટેશનની સાફ સફાઇ અને જાળવણીમાં ઊણું ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રેલવે સ્ટેશન આસપાસ બાવળ અને ઝાડી, ઝાંખરાના ઝુંડ ઉગી નીકળ્યા છે. જેથી કરીને અહીં નશાખોરો અને આવારાતત્વોને લપાઇને પડ્યા રહેવાની મોજ પડી જાય છે. જેથી કરીને મુસાફરોની હાલાકી વધી રહી છે. બહેનો દીકરીઓને પસાર થવું મુશ્કેલીભર્યું બની રહે છે. અહીં કાયમી આરપીએફ જવાન મુકવાની માગણી પહેલેથી કરવામાં આવી રહી છે તે પણ રેલવે તંત્ર પુરી કરી શક્યુ નથી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:20 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ખેડૂતોને ઠંડીમાંય પગે પાણી ઉતારતી સહાય માટેની કતાર

મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં માવઠાને કારણે પાકોમાં વ્યાપક નુકસાન થવાથી ખેડૂતોને વળતર આપવા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હોય પણ સહાય મેળવવા માટે 7/12 અને 8-અ જેવા ડોક્યુમેન્ટ જરૂરી હોવાથી મોરબી તાલુકાના ખેડૂતો આ દાખલા કઢાવવા માટે ઇ-ધરા તાલુકા મામલતદાર કચેરીએ મોટા પ્રમાણમાં ધસારો કરી રહ્યા છે.પણ આ દાખલા કઢાવવામાં ખેડૂતોને ભારે હાડમારી વેઠવી પડે છે. આ મામલે દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કરતા માલુમ પડ્યું હતું કે, શહેરમાં આવેલી મામલતદાર કચેરીએ દસ્તાવેજો કઢાવવા ગ્રામ્ય વિસ્તારોમાંથી બીજા બધા કામો પડતા મૂકી ખેડૂતો વહેલી સવારથી જ આવી જાય છે અને લાંબી લાઈનમાં જોડાય જાય છે. ખેડૂતો આખો દિવસ લાઈનમાં ઉભા રહે છે. છતાં આ દાખલા નીકળતા નથી. જ્યારથી સહાયના ફોર્મ ભરવાનું શરૂ થયું છે ત્યારથી જ ટેક્નિકલ ખામી થવાથી સર્વર ડાઉન થઈ ગયું છે. સતત બે દિવસથી સર્વર ડાઉન છે.તેથી ખેડૂતોની પરેશાની વધી છે. ખેડૂતોની કપરી પરિસ્થિતિ એવી છે કે, પહેલા તો ટેકાના ભાવે મગફળી વેચવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ હવે પાકની નુકશાનીની સહાય મેળવવા જરૂરી દાખલા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં સર્વર ડાઉન હોવાથી સમયસર કામ ન થતા નિરાશ થઈને વીલા મોઢે પરત જવું પડે છે. એટલે ખેડૂતોને ધક્કે પે ધક્કા ખાવા પડી રહ્યા છે. સવારથી લાઈનમાં ઊભા હોય, વારો ક્યારે આવશે તે નક્કી જ નહીં!‎ મોરબીના જોધપર ગામના ખેડૂત રમેશભાઇએ ઉકળાટ ઠાલવતાં જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં હાલ સહાય માટે મહત્વના ડોક્યુમેન્ટ 7/12 અને 8-અ કઢાવવા માટે ખેડૂતોની ભારે લાઇન લાગે છે. આ દાખલા કઢાવવા મામલતદાર કચેરીમાં સવારથી લાઈનમાં ઉભા છીએ. પણ ક્યારે વારો આવશે અને ક્યારે દાખલા નીકળે એ નક્કી નથી. કારણ કે સર્વર ડાઉન હોવાથી આ મુશ્કેલી સર્જાઈ છે. મારા જેવા કેટલાય બુઝુર્ગ ખેડૂતો લાઈનમાં ઉભા છે. પણ આજે આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો ન આવે તો બીજા દિવસે ધક્કો ખાવાની નોબત આવે છે. મોટાભાગે તો સર્વર ડાઉન જ રહે છે.પણ ક્યારેક સર્વર ખૂબ જ ધીમું ચાલતું હોય થોડાક ખેડૂતોનો તો વારો આવે છે. આ મુશ્કેલી તંત્ર અને સરકાર વ્હેલાસર દૂર કરે તો સારું. એક તો ખેતીમાં ધ્યાન આપી શકાતું નથી અને બીજી તરફ સહાય પણ ક્યારે મળશે એ નક્કી નથી. સવારથી દાખલા નીકળી જશે તે આશાએ કતારમાં ગોઠવાઇ જતાં ખેડૂતોને કલાકો વેડફ્યા પછી અંતે તો નિરાશ થઇને જ પરત જવાનો વારો આવે છે, અમુક ખેડૂતો તો પલાઠી વાડીને બેસી જવા મજબુર બન્યા છે. સર્વર ડાઉનની સમસ્યા સત્વરે‎ઉકેલાય તેવા પ્રયાસો ચાલુ જ છે‎ઇ ધરા મામલતદાર કચેરીમાં સહાય માટે જરૂરી દસ્તાવેજો કઢાવવા માટે ખેડૂતો આવે છે. પણ સર્વર ડાઉનને લીધે ખેડૂતોને હાલાકી પડે છે. બે દિવસથી સર્વર ડાઉન છે. જેથી ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે.આથી આ સર્વર ડાઉનના પ્રશ્નનું સોલ્યુશન થાય એ માટે મામલતદારે કલેકટર કચેરીમાં જી સ્વાનના ઈજનેરને જાણ કરી છે. જો કે આ મોરબીની એકની સમસ્યા નથી. આખા ગુજરાતમાં આ સ્થિતિ છે. એટલે આ સર્વર ડાઉનનો પ્રશ્ન ઝડપથી ઉકેલાય તે માટે સક્રિય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પણ હવે પછી સરળતાથી 7/12 અને 8-અ ના દાખલા મળી રહે તેવી વ્યવસ્થામાં તંત્ર કામે લાગી ગયું છે. > હરેશ ચાૈહાણ, નાયબ મામલતદાર

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:20 am

હત્યારો પોલીસના સંકજામાં:ઝોબાળા ગામની હત્યા કેસનો‎મુખ્ય આરોપી ઝડપાયો‎

ચુડાના ઝોબાળા ગામની હેતલ ભુપતભાઈ જુવાલિયાને તેના જ ગામના આર્મીમાં ફરજ બજાવતા સંજય બચુ લીંબડીયા સાથે પ્રેમ થયો હતો. સંજયે ટુવા ગામની રિન્કુ સરવૈયા સાથે લગ્ન કરી લીધા હતા. હેતલે પરણિત પ્રેમી સંજયના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. લગ્નના એક વર્ષ પછી સંજયે સગર્ભા હેતલ સાથે મૈત્રી કરાર કર્યો હતો.‌ મૈત્રી કરારના 1 માસ પછી હેતલે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર શ્રેયાંશના નામ પાછળ હેતલે પિતા તરીકે સંજયનું નામ લખાવ્યું હતું. પુત્રના જન્મના 2 વર્ષ પછી સંજયે પત્ની રિન્કુ સાથે છૂટાછેડા લીધા હતા. સંજયના પિતા બચુ આ વાતને લઈને ખુબ ક્રોધિત રહેતો હતો. તા.15 નવેમ્બરે હેતલ ઘરેથી નીકળી ત્યારે અમુક શખસોએ તેના પર ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો. હેતલની હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા. પીએસઆઈ એન.એ.ડાભી અને ટીમે ઝોબાળા ગામના સીમમાંથી મર્ડર કેસના મુખ્ય આરોપી બચુ લીંબડીયાને ઝડપી પાડ્યો છે. આરોપી તપાસમાં સહકારઆપતો નથી ડીવાયએસપી વી.એમ. રબારીએ જણાવ્યું કે આરોપી બચુની પુછપરછ શરૂ છે. બચુ ગોળગોળ જવાબ આપી રહ્યો છે. હત્યામાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ છે પરંતુ આરોપી તપાસમાં સહકાર આપતો નથી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:17 am

નબળી કામગીરી અંગે સંકલનની બેઠકમાં રજૂઆત:જિલ્લા કલેક્ટરના 15 દિવસમાં રિપોર્ટના આદેશના મહિના બાદ વાસ્મોની તપાસ

લખતરમાં વાસ્મોની કામગીરી અંત્યત નબળી થઈ છે. આ અંગે અનેક રજૂઆત થઈ હતી. તેવામાં તાજેતરમાં તા.18 ઓક્ટોબરના રોજ ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે જિલ્લા સંકલનની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં લખતર વાસ્મોની નબળી કામગીરીને લઈને અધ્યક્ષસ્થાનેથી કડક આદેશ કરી કામગીરી નબળી છે તો કાર્યવાહી કેમ ન કરી ? આ કામગીરી અંગે 15 દિવસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને તા.17 નવેમ્બરે વાસ્મોના ટેકનિકલ પર્સન સંદિપ એમ.પરમાર, હર્ષદ ચાવડા, નીરવ પટેલ સહિતની ટીમ તપાસમાં લખતર પહોંચી હતી. જ્યાં તેઓએ ગામના સરપંચ અને સભ્યોને સાથે રાખી ગામમાં કામગીરીની સમીક્ષા કરી હતી. તો ગ્રામપંચાયતમાં પણ બેઠક કરી હતી. લખતરમાં વાસ્મોની કામગીરી સમયે ટેન્ડરમાં 3 ફૂટની લાઇન નાંખવાનું દર્શાવેલ છે. પરંતુ વાસ્મો દ્વારા માંડ દોઢેક ફૂટ જેટલી લાઇન ઊંડી નાંખી છે. 17 નવેમ્બરે વાસ્મોની ટીમ તપાસમાં આવીકલેક્ટરે તા. 18 ઓક્ટોબરે સંકલન સમિતિમાં 15 દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ વાસ્મો વિભાગે આ આદેશને હળવાશથી લીધો હોય તેમ આદેશ કર્યાના લગભગ 1 મહિના પછી એટલે કે તા. 17 નવેમ્બરે વાસ્મોની ટીમ તપાસમાં આવી હતી. આવી ઢીલી કામગીરીથી સરકારી કામગીરીની છાપ લોકોના માનસ ઉપર પડી છે તેવું ચર્ચાતું હતું. લેખિત હુકમ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી : વાસ્મો આ અંગે વાસ્મો સુરેન્દ્રનગરના પ્રોજેક્ટ ઓફિસર આકાશદીપ પંચાસરાએ જણાવ્યું કે જિલ્લા સંકલન સમિતિની બેઠકનો લેખિત હુકમ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવેલ છે. કામગીરીના કારણે થોડો સમય વધુ લાગ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:15 am

અનાવરણ:સુરેન્દ્રનગર મનપાએ I Love Zalawad’ બોર્ડનું અનાવરણ કર્યું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી પાસે જિલ્લા પંચાયત તરફ જતા ત્રણ રસ્તા પર, ત્રણ બાજુથી સ્પષ્ટ દેખાય તેમ I Love Zalawad લખેલું આકર્ષક બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડનું અનાવરણ લોકલાગણીને માન આપીને કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ શહેરીજનોના મનોરંજન અને તેમની ઝાલાવાડ પ્રત્યેની લાગણીને વ્યક્ત કરવાનો છે. આ બોર્ડની સ્થાપના પાછળનો વિચાર શહેરના નાગરિકોને તેમના વતન પ્રત્યેના પ્રેમને આધુનિક અને આકર્ષક રીતે વ્યક્ત કરવાની તક આપવાનો છે. હાલમાં, પ્રાયોરિટી ધોરણે માત્ર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીની બહાર એક જ બોર્ડ લગાવવામાં આવ્યું છે,

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:14 am

ગૌરવની વાત:8 વર્ષે વોલીબોલ રમવાની શરૂઆત કરનાર યુવાનની ગુજરાતની ટીમમાં પસંદગી થઈ

સુરેન્દ્રનગર જોરાવરનગરના યુવા વોલીબોલ ખેલાડી રાણા રુદ્રસિંહ જયદિપસિંહએ SGFI સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા અંડર-19 વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં સ્થાન મેળવ્યું છે. મૂળ ગામ વણાના અને હાલ જોરાવરનગર ખાતે રહેતા રુદ્રસિંહ હાલ નડિયાદ વોલીબોલ એકેડમીમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તેમના વોલીબોલ પ્રવાસની શરૂઆત માત્ર 8 વર્ષની ઉંમરે થઈ હતી. તેઓએ સુરેન્દ્રનગરની સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબમાં કોચ યશપાલસિંહ ઝાલા પાસેથી તાલીમ લેવાની શરૂઆત કરી હતી. રુદ્રસિંહે અગાઉ પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેમણે ખેલ મહાકુંભની સુરેન્દ્રનગર જિલ્લાની અંડર-14 વિભાગની સ્ટેટ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં, ગુજરાતની ટીમમાં તેમની પસંદગી બાદ, તેઓ મધ્યપ્રદેશ ખાતે યોજાઈ રહેલી રાષ્ટ્રીય કક્ષાની અંડર-19 વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા છે. તેમની આ સિદ્ધિ બદલ સેવન સ્ટાર ક્લબના સભ્યો, ખેલાડીઓ અને રમતગમત પ્રેમીઓએ શુભેચ્છાઓ પાઠવી છે. એક્સપર્ટતેમની એટેકિંગ રમત સારી છેરાણા રૂદ્રસિંહ 5 વર્ષની ઉંમરના હતા ત્યારથી તેમના પિતા પણ વોલીબોલ રમતના શોખ હોવાથી તેમની સાથે રમવા આવતા હતા. નાનપણથી રમત પ્રત્યે હાઇટ સારી હોવાથી સારી લગનથી મહેનત કરી રમી રહ્યા છે. વોલીબોલની રમતમાં સ્કોરિંગ માટે મહત્વનું હોય છે એટેકીગ રમત. રૂદ્રસિંહ સારી એટેકિંગ સ્કીલ છે અને ચોથા પોઝિસન પર રમે છે અને 175 હાઇટ અને જમ્પના કારણે તેમને સફળતા મળી છે. > યશપાલસિંહ ઝાલા, કોચ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:12 am

પાટોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ‎:સવારે મંગળા આરતી, મહાપૂજાવિધિ, અભિષેક વિધિ, પાટોત્સવ આરતી, દર્શનનો લોકોએ લાભ લીધો

ઝાલાવાડની રાજધાની સમા સુરેન્દ્રનગર શહેરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 29મો પાટોત્સવ 16 નવેમ્બર 2024 કારતક વદ 12ના રોજ ધર્મમય માહોલમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ મંગળ અવસરે વિવિધ કાર્યક્રમોની શૃંખલા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. પાટોત્સવના શુભ અવસરે, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ગઢડાના કોઠારી અધ્યાત્મ સ્વરૂપ સ્વામી અને લીંબડી મંદિરના કોઠારી સંત મંગલચરિત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પાટોત્સવનો વૈદિક વિધિ યોજાયો હતો. આ દરમિયાન હરિભક્તોએ વહેલી સવારે મંગળા આરતી, ત્યારબાદ મહાપૂજાવિધિ, અભિષેક વિધિ તેમજ પાટોત્સવ આરતી અને દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ અવસરનું વિશેષ આકર્ષણ એ હતું કે દરેક હરિભક્તને અક્ષર પુરુષોત્તમ મહારાજ ચલમૂર્તિના અભિષેકનો વ્યક્તિગત લાભ પ્રાપ્ત થયો હતો, જેનાથી સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા હતા. વધુમાં, બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અધ્યાત્મ સ્વરૂપ સ્વામીએ પાટોત્સવની પ્રતિક રવિ સભામાં બનીએ ચૈતન્ય મંદિર વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે નૂતન મંદિરના નિર્માણની સાથે-સાથે દરેકના મન પણ સદ્ગુણોરૂપી મંદિર બને તેવી પ્રેરણા આપી, જે શ્રોતાજનોએ હૃદયપૂર્વક ઝીલી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર મંદિરના કોઠારી ધર્મચિંતન સ્વામી, સંતગણ, કાર્યકરો અને હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:10 am

મનપાનું નવું આયોજન:સુરેન્દ્રનગરમાં 2500 મિલકતધારકને ઓનલાઇન ટેક્સના મેસેજમાં 1500થી વધુ લોકોએ ટેક્સ ભર્યો

સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકા હતી ત્યારે ટેક્સ ભરવામાં લોકો હોતી હૈ ચલતી હૈ કરતા હતા. પરંતુ મનપા આવ્યાની સાથે જ કડક વસૂલાત કરતા આવક વધી ગઇ છે. મનપાએ પ્રાયોગિક ધોરણે લોકોને ટેક્સના મેસેજ કરવાનું આયોજન કર્યું હતું. મનાપામાં કુલ 1.20 લાખ મિલકત નોંધાયેલી છે. જે પૈકી વોર્ડ નં 8માં કુલ 6 હજાર મિલકત નોંધાયેલી છે. તેમાં જે 2500 લોકોના મોબાઇલ નંબર મનપામાં રજિસ્ટર થયા છે તેવા લોકોને ટેક્સ મેસેજ કરીને લીંક મોકલવામાં આવી છે. આ લીંકની મદદથી લોકો ઘરે બેઠા ટેક્સ ભરી શકશે. 2500માંથી 1600થી વધુ લોકોએ ઓનલાઇન ટેક્સ ભર્યો હતો. આ પ્રયોગથી મનપાની આવકમાં પણ વધારો થયો છે. સંયુકત પાલિકામાં દરરોજ રૂ. 30થી 40 લાખના ટેક્સની આવક થતી હતી જ્યારે વર્તમાન સમયે મનપામાં આ આંક 2 કરોડ સુધી પહોચી ગયો છે. મનપાના આ પ્રયોગનો લાભ લેવા માટે મિલકત ધારકો પોતાનો મોબાઇલ નંબર મનપામાં રજિસ્ટર કરાવે તે જરૂરી છે. મારા કામની વાતલીંક ખોલતાની સાથે પ્રોપર્ટીની વિગત મળી જશેમનપાએ પ્રાયોગિક ધોરણે જે લોકોને લીંક મોકલી છે તે મિલકત ધારકે ટેક્સ મેસેજની લીંકને ક્લીક કરવાની રહેશે. ક્લીક કરતાની સાથે સ્ક્રિન ખુલી જશે. જેમાં ઘર નંબર અને વોર્ડ નંબર નાંખવાથી તમારી મિલકતની તમામ વિગત, નામ, બાકી રૂપીયા પણ બતાવશે. તેના ઉપરથી ઓનલાઇ પેમેન્ટ કરતા ભરેલા પૈસાની પોચ પણ બતાવશે. મિલકત ધારક તે પહોંચની પ્રિન્ટ કાઢીને સાચવી શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:09 am

કમોસમી વરસાદનો માર:રીંગણાનો ભાવ રૂ. 200, ઓળો રૂ. 300ને પાર : ગત વર્ષ કરતાં રૂ. 80 વધ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆત થવા સાથે સ્વાદ રસીકોને રીંગણનો ઓળો યાદ આવતો હોય છે.ત્યારે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદમાં રીંગણનો ફાલ બગડતા આવક ઓછી થઇ છે. અને ભાવ રીટેઇલમાં 200એ પહોંચ્યો છે. રીંગણના ભાવ ગત વર્ષ અંદાજીત 120થી 140 આવા સમયે હતો. સુરેન્દ્રનગર જિલ્લાની જનતા સ્વાદ રસીક છે તેમાય શિયાળાની રૂતુમાં લોકો અવનવી વાનગીઓ માણતાહોય છે.જેમાં ખાસ હોય છે રીંગણાનો ઓળો ત્યારે શિયાળો બેસે એટલે ઝાલાવાડમાં આખા રીંગણાંનું શાક અને ઓળાની રિમાન્ડ વધી જાય છે. ગામડાના રીંગણાંની મીઠાશ જ સ્વાદ પરખું ને અહીં ખેંચી લાવતી હોવાથી રીંગણાંની માગ જિલ્લા ભરમાં રહે છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી રીંગણાના ભાવ ઐતિહાસિક સપાટી વટાવી રહ્યા છે.ઓક્ટોબરમાં કમોસમી વરસાદ સતત અઠવાડિયું વરસ્યો જેની અસર શાકભાજી ના ઉત્પાદન પર પંથકમાં પડી છે. ઓછું ઉત્પાદન થવાના કારણે માર્કેટમાં શાકભાજી ઓછી આવે છે. શિયાળામાં રીંગણાની માગ સૌથી વધુ હોય છે તે રીંગણીમા ફૂલ ખરી જવાના કારણે સામાન્ય રીતે જે યાર્ડમાં રોજના 2000 મણ આવતા હતા તેના સ્થાને સાવ થોડા આવે છે. આથી ભાવો 200 રૂપીયા કિલો સુધી રીટેઇલમાં પહોંચ્યા છે.ત્યારે રીંગણના ઓળા અને ભડથુ નાભાવ શહેરમાં કિલોના 290થી 300 રૂપીયે કિલો વેચાઇ રહ્યા છે. રાજુભાઇ સેક્રેટરી વઢવાણ માર્કેટીંગ યાર્ડ સાથે સીધીવાત સવાલ - હાલ યાર્ડમાં રીંગણના ભાવ શું ચાલે છે?જવાબ - હાલ યાર્ડમાં 80-100કિ લોએ ચાલે છે સવાલ - રીંગણા કેટલી આવક થાય છે?જવાબ - નિયમીત કરતા હાલ 25થી 30 ટકા ઓછી છે સવાલ - ઓછી આવકનુ કારણશુ?જવાબ - વરસાદના કારણે નુકશાન થતા આવક હાલ સાવ એટલે સાવ ઓછી છે ભાસ્કર એક્સપર્ટહોલસેલ ભાવમાં 150 અને રીટેઇલમાં 200 સુધી વેચાયછે ઉપરથી જ રીંગણાની આવક હાલ ઓછી હોવાથી હોલસેલ ભાવે રૂ.150 ના ભાવે જઈ રહ્યા છે.જે છૂટક માર્કેટમાં રૂ.200 સુધીમાં વેચાય છે. > નિકુલભાઇ રામી, શાકભાજી વેપારી ગત વર્ષ કરતા વાવેતર ઘટ્યું​​​​​​​ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ 2023-24માં રીંગણનુ વાવેતર જિલ્લામાં 1064 હેક્ટરમાં થતા ઉત્પાદન 19790 મેટ્રીકટન ઉત્પાદન થયુ હતુ.જ્યારે વર્ષ 2024-25માં 930 હેક્ટરમાં વાવેતર સાથે 17302 મેટ્રીક ટન ઉત્પાદ થયુ હતુ. આમ ગત વર્ષમાં કરતાં આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. રાજુભાઇ સેક્રેટરી, વઢવાણ માર્કેટીંગ યાર્ડ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:03 am

કમોસમી માર પછી સરકારી માર:સર્વર ધીમા, ફોર્મ ધીમા, 15 દિવસનું કામ 20 દિવસે પૂર્ણ થશે

જિલ્લામાં ચોમાસુ પાક ઓક્ટોબરમાં સપ્તાહમાં પડેલા 308 મીમી કમોસમી વરસાદને કારણે 507250 પાકનું વાવેતર કરાયું હતું તે ધોવાઇ ગયો હતો. સરવે બાદ 10 તાલુકાના 500 ગામોમાં પાકને નુકશાની ધ્યાને આવી હતી. હાલ સરકારે 10 હજાર કરોડ સહાય જાહેર કરી જેના ફોર્મ ભરવાનું શુક્રવારથી શરૂ થયું. જેમાં પ્રથમ દિવસે ક્યાંક નેટ ધીમુ તો ક્યાંક સર્વર ડાઉન, દાખલા માટે સમસ્યાને લીધે એક ફોર્મ ભરાતા 15 મીનીટ જેટલો સમય લાગતો હોવાનુ ધ્યાને આવ્યું હતું. 4 દિવસમાં 45000 ફોર્મ ભરાયાનું ખેતીવાડી શાખાએ જણાવવ્યું હતું. જો આ ગતીએ ફોર્મ ભરાય તો 20 દિવસનો સમય લાગે તેમ છે. ફોર્મ પહેલા દાખલા માટે લાઇનમાં ઉભા રહેવું પડે છેફોર્મ ભરવા 7-12 , 8-અ, સંમતી પત્ર સહિતના કાગળોની જરૂર પડે છે. ફોર્મની લાઇનમાં રાહ જોયા પછી કાગળ ખુટે એટલે તે લેવા લાઇનમાં રહેવાનું.> અશ્વાર માધવસિંહ સીધી વાત સવાલ - અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા?જવાબ-રોજની વિગત અપડેટ થતી રહે છે45000 જેટલા ફોર્મ ભરાયા છે સવાલ - ખેડૂતને મુશ્કેલી હોય તો શુ કરવુ?જવાબ- મુશ્કેલી થાય તો ખેડૂત ખેતીવાડી વિભાગનુ ધ્યાનદોરે સમસ્યા દુર કરાશે સવાલ - 15 દિવસમાં કોઇ ફોર્મ ભરવા બાકી રહે તો શું સમય વધારાશે?જવાબ-હાલ ફોર્મ ભરવાનુ ચાલુ છે 15 દિવસમાં દરેકના ફોર્મ ભરાય તેવા પ્રયાસ કરાશે સમય મર્યાદા વધારવી તે સરકાર નિર્ણય કરે અત્યારથી કહી ન શકાય. > એમ.આર.પરમાર, ખેતીવાડી અધિકારી

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસીની સજા; દિલ્હી બ્લાસ્ટમાં શૂઝ બોમ્બની શક્યતા, ટેરિફ પછી ભારત-US વચ્ચે પહેલી ડિલ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દિલ્હી બોમ્બ વિસ્ફોટોની તપાસને લગતા છે. આતંકવાદીના એક સાથીની ધરપકડ કરવામાં આવી છે. બીજા સમાચાર ભોપાલથી છે, જ્યાં ઠંડી રેકોર્ડ તોડી રહી છે. અમે તમને એ પણ જણાવીશું કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાનને મૃત્યુદંડની સજા કેમ આપવામાં આવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અંડરવર્લ્ડ કનેક્શન કેસમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં NCP નેતા નવાબ મલિક સહિત ત્રણ આરોપીઓ સામે આરોપો ઘડવામાં આવશે. 2. રાઇઝિંગ એશિયા કપમાં ઇન્ડિયા A વિરુદ્ધ ઓમાન મેચ રાત્રે 8 વાગ્યે દોહામાં રમાશે. કાલના મોટા સમાચારો 1. શેખ હસીનાને ફાંસીની સજા:બાંગ્લાદેશી કોર્ટે વિદ્યાર્થીઓની હત્યાઓના દોષી માન્યા; યુનુસે ભારત પાસે હસીનાને સોંપવાની માગણી કરી બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સોમવારે મોતની સજા સંભળાવવામાં આવી છે. તેમને ઢાકાની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે 5માંથી બે કેસમાં (હત્યા માટે ઉશ્કેરણી કરવા અને હત્યાનો આદેશ આપવા બદલ) મોતની સજા આપી. ત્યાં જ, બાકીના કેસોમાં તેમને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી. ટ્રિબ્યુનલે શેખ હસીનાને જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા. ત્યાં જ બીજા આરોપી પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાનને પણ 12 લોકોની હત્યાના દોષી માન્યા અને ફાંસીની સજા સંભળાવી. સજાની ઘોષણા થતાં જ કોર્ટ રૂમમાં હાજર લોકોએ તાળીઓ પાડી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સાઉદી અરબમાં બસ અકસ્માત, 45 ભારતીયોના મોત:મક્કાથી મદીના જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ, માત્ર ડ્રાઇવર જ બચ્યો સોમવારે મોડી રાત્રે સાઉદી અરેબમાં થયેલા રોડ અકસ્માતમાં 45 ભારતીયોનાં મોત થયા હતા. મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. મૃતકોમાં 18 મહિલાઓ, 17 પુરુષો અને 10 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં માત્ર ડ્રાઇવર જ બચી ગયો હતો. મોટાભાગના મૃતકો હૈદરાબાદના હોવાનું કહેવાય છે. આ અકસ્માત મદીનાથી લગભગ 160 કિલોમીટર દૂર મુહરાસ નજીક ભારતીય સમય મુજબર આશરે 1:30 વાગ્યે થયો હતો. તે સમયે ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમને બસમાંથી બહાર નીકળવાની તક જ મળી નહીં. તેલંગાણા સરકારે કહ્યું કે તેઓ રિયાધમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં હાજર અધિકારીઓને દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને પીડિતોની ઓળખ કરવા અને અન્ય તમામ મદદ કરવા નિર્દેશ આપ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દિલ્હી વિસ્ફોટમાં શૂઝ બોમ્બ હોવાની શંકા:સંવેદનશીલ TATP વિસ્ફોટકના નિશાન મળ્યા; NIAએ આતંકવાદી ડૉ. ઉમરને સુસાઈડ બોમ્બર માન્યો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આતંકી બ્લાસ્ટમાં સુરક્ષા એજન્સીઓને શૂઝ બોમ્બના ઉપયોગની શંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ એજન્સીઓને વિસ્ફોટવાળી કારમાંથી એક જૂતું મળ્યું છે. તેની તપાસમાં એમોનિયમ નાઇટ્રેટ અને TATPના નિશાન મળ્યા છે. એજન્સીઓ આને શરૂઆતી સુરાગ માની રહી છે અને આ એંગલથી પણ તપાસ કરી રહી છે. ટીએટીપી એક અત્યંત ખતરનાક અને સંવેદનશીલ વિસ્ફોટક માનવામાં આવે છે, જેનો આતંકીઓ વારંવાર ઉપયોગ કરે છે. આ મામૂલી ઝટકા, ઘર્ષણ કે થોડી ગરમીથી પણ ફાટી શકે છે. આ જ કારણથી તેને આતંકી દુનિયામાં 'Mother of Satan' એટલે કે 'શૈતાનની મા' કહેવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બિહારમાં 20 નવેમ્બરે નવી સરકાર શપથ લેશે:19મીએ વિધાનસભા ભંગ થશે, CM રાજ્યપાલને મળ્યા, કાલે JDU-BJP ધારાસભ્ય દળની બેઠક બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના ઐતિહાસિક વિજય બાદ, નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નીતિશ કુમારે સોમવારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાથે મુલાકાત કરી અને એક પત્ર સુપરત કર્યો.જેમાં 19 નવેમ્બરના રોજ વિધાનસભા ભંગ કરવાની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ એનડીએના પ્રચંડ વિજય બદલ નીતિશ કુમારને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે, છેલ્લી કેબિનેટ બેઠક મળી હતી, જેમાં 19 નવેમ્બરના રોજ વર્તમાન વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આવતીકાલે, મંગળવારે JDU ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવવામાં આવી છે. ભાજપ વિધાનસભા પક્ષની પણ બેઠક યોજાશે. ત્યારબાદ, આવતીકાલની બેઠકમાં NDA ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટેરિફ બાદ ભારત-અમેરિકા વચ્ચેની પ્રથમ ડીલ:ભારત તેની ગેસ જરૂરિયાતનો 10% હિસ્સો USથી ખરીદશે, LPG સિલિન્ડરના ભાવ ઘટી શકે છે ટેરિફ વિવાદ વચ્ચે, ભારત અને અમેરિકાએ તેની પ્રથમ ડીલ કરી છે. આ ડીલ હેઠળ, ભારત યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી આશરે 2.2 મિલિયન ટન (MTPA) LPG ખરીદશે. આ ભારતની વાર્ષિક જરૂરિયાતોના 10% છે. આ ડીલ ફક્ત એક વર્ષ માટે એટલે કે 2026 સુધી માન્ય છે. આ ડીલ ભારતની સરકારી તેલ કંપનીઓ - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) દ્વારા અમેરિકન ઊર્જા સપ્લાયર્સ શેવરોન, ફિલિપ્સ 66 અને ટોટલ એનર્જી ટ્રેડિંગ સાથે કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ તેને ઐતિહાસિક પ્રથમ ગણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પત્નીના ફોનના DRAFT મેસેજથી ફોરેસ્ટ અધિકારીનો ખેલ ખૂલ્યો:ભાવનગરમાં પત્ની-પુત્રી-પુત્રની હત્યા કરી, ગાદલા મૂકી લાશો દાટી, સ્ટાફ પાસે JCBથી ખાડો ખોદાવ્યો, 2 ડમ્પર માટી મગાવી હતી ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘર કંકાસમાં કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પરંતુ, 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા.આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. જૂનાગઢમાં આર્થિક સંકડામણથી યુવા ખેડૂતે જીવન ટૂંકાવ્યું:​માત્ર સવા દસ વીઘા જમીન પર નભતા શૈલેષભાઈએ પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પીધી; દીકરો-દીકરી નિરાધાર બન્યા જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાક નિષ્ફળ જવાથી ગંભીર આર્થિક સંકળામણના કારણે ઈશ્વરીયા ગામના 42 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડૂતના આ અંતિમ પગલાથી સમગ્ર પંથકમાં ગમગીની અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું ​ મૃતક શૈલેષ દેવજીભાઈ સાવલીયા તેમની પત્ની 11 વર્ષનો દીકરો અને એક 16 વર્ષની દીકરી સાથે રહેતાં હતાં. શૈલેષભાઈને સવા દસ વીઘા જેટલી જમીન હતી, જે તેમના પરિવારના ગુજરાનનો એકમાત્ર આધાર હતી. તેને ચાલુ વર્ષે પોતાની આ જમીનમાં મગફળી, ડુંગળી અને તુવેર જેવા મહત્ત્વના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કાપણીના સમયે જ કમોસમી વરસાદ તૂટી પડતા, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઓપરેશન સિંદૂર 88 કલાકનું ટ્રેલર હતું:આર્મી ચીફ બોલ્યા- પાકિસ્તાન ફરી તક આપશે તો જવાબ વધુ કડક હશે; આતંક ફેલાવનારાઓ પર સખત કાર્યવાહી જરૂરી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ડ્રગ્સ લઈ જતી બોટ પર અમેરિકાની એરસ્ટ્રાઇક:75 દિવસમાં 21મો હુમલો, અત્યાર સુધીમાં 83 લોકોનાં મોત; ટ્રમ્પે હુમલોનો આદેશ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : આઝમ ખાન અને તેના દીકરાને 7-7 વર્ષની સજા:2 મહિના પહેલા છૂટ્યા હતા, હવે ફરી જેલ જશે; નકલી પાન કાર્ડ કેસમાં ચુકાદો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : લંડન નદીમાં એક ભારતીયના પગ ધોવા પર વિવાદ:સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું- ગંગા-યમુના પૂરતી નથી, જો થેમ્સને પણ એવી જ બનાવવા માગો છો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : અનિલ અંબાણી હવાલા કેસમાં બીજી વખત હાજર થયા નહીં:ઓનલાઈન નિવેદન નોંધવા વિનંતી કરી; ₹100 કરોડનો હવાલા સબંધીત કેસ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : દીકરો ક્રિકેટની દુનિયાનો દિગ્ગજ, પણ પિતા માગે છે મોત:ખાવા માટે અજાણ્યાઓ પર નિર્ભર, બોલ્યા- હવે હું મરવા માગુ છું; યુવરાજનાં પિતા યોગરાજનું દર્દ છલકાયું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યનું ગોચર, ભાગ્યરેખા પર પાડશે પ્રકાશ:ગુરુ સાથે 'નવપંચમ' અને મંગળ-બુધ સાથે ચાર મોટા સંયોગ; મિથુન સહિત ચાર જાતકોના કરિયરમાં સારો વળાંક વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે 200 કિલો વજનની રોટલી બનાવવાની કોશિશ ફેઈલ કેન્યામાં યુગાન્ડાના કન્ટેન્ટ ક્રિએટર રેમન્ડ કાહુમાએ 200 કિલો વજનની વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે અને તેમની ટીમે 2-મીટરની વિશાળ સ્ટીલની તપેલી બનાવી, ચાર બોરી કોલસો બાળી અને 8 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો. જોકે, જ્યારે ટીમે તપેલીમાંથી રોટલી ઉલટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે તૂટી ગઈ અને મિશન ફેઈલ ગયું. કહુમાએ અગાઉ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે, જેમાં સૌથી મોટો એગ રોલ અને સૌથી ઝડપી રોટલીનો સમાવેશ થાય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સપ્લેનર : શેખ હસીનાને મોતની સજા, હવે ભારત શું કરશે:બાંગ્લાદેશને ન સોંપે તો શું થશે; 6 સવાલોમાં પૂરી કહાની 2. લક્ષાધિપતિ-1 : અમદાવાદમાં પહેલી મોટરકાર અંબાલાલ સારાભાઈ લાવ્યા:ભારત ગુલામ હતો ત્યારે અંગ્રેજોના દેશમાં ભારતીય કંપની શરૂ કરી, શાહીબાગમાં બનાવ્યો ભવ્ય બંગલો 3. NSEના નવા રિપોર્ટે શેરબજારની દશા-દિશા બતાવી દીધી:કોરોનાકાળમાં આવેલા ઇન્વેસ્ટરની હાલત કેમ માઠી? કયા સેક્ટરમાં બમ્પર રિટર્ન? એક્સપર્ટે સરળ રીતે સમજાવ્યું 4. ગ્રાઉન્ડ રિપોર્ટ ક્યાં ગયો બાંકે બિહારી મંદિરનો 1000 કરોડનો ખજાનો:સેવા કરનારાઓ પર આરોપ, પુરોહિતો બોલ્યા- અમે જાણતા હતા, ભોંયરામાં કંઈ નહીં મળે 5. મંડે મેગા સ્ટોરી 6 CM, 16 મંત્રી, 200 સાંસદો અઠવાડિયાઓ સુધી બિહારમાં રહ્યા:BJP સતત ચૂંટણી કઈ રીતે જીતી રહી છે; 8 ફેક્ટર, જ્યાં સતત માર ખાઈ રહી છે કોંગ્રેસ 6. આજનું એક્સપ્લેનર:વૃદ્ધાવસ્થામાં થનારું આંતરડા-મળદ્વારનું કેન્સર યુવાનોમાં વધવા લાગ્યું; કારણ- પેકેટવાળો ખોરાક અને આળસ; જાણો લક્ષણો અને બચાવ 7. મોબાઈલથી જાણો સોનું અસલી કે નકલી?:એક ભૂલ અને લાખોનું નુકસાન! કેવી રીતે બચવું? જાણો 'BIS CARE' એપથી શુદ્ધતા ચકાસવાની સ્માર્ટ ટ્રિક કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ મંગળવારનું રાશિફળ:કર્ક રાશિના પરિવારમાં શાંતિ, ખુશી અને પ્રેમનું વાતાવરણ રહેશે, મકર રાશિના જાતકો માટે દિવસ 'મંગળ' વાંચો સંપૂર્ણ સમાચાર...

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:00 am

સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:લુણાવાડાથી મળેલી અસ્વસ્થ યુવતીનું રાજસ્થાનના પરિવાર સાથે મિલન

મહિસાગર મહિલા હેલ્પલાઇન 181 ટીમ દ્વારા લીબોદરા ચોકડી પાસેથી એક અજાણી મહિલા સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય અને કાઉન્સિલગ માટે લાવવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને શાંતિ થી બેસાડી પૂછપરછ કરવામાં આવતા તેને પોતાનું નામ જોશના વિનોદભાઈ ભગોરા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ કંઈ પણ બોલતા ન હતા અને થોડા માનસિક અસ્વસ્થ હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારબાદ યુવતીનું સતત કાઉનસેલીગ કરતા તેઓ ગામનું નામ વિરપુર જણાવતા હતા. પિતાનું નામ વિનોદભાઈ જણાવતા હતા. ત્યારબાદ યુવતીને વિરપુર ગામનું નામ બોલતા તેને મહિસાગરના વિરપુર તાલુકામાં પણ લઈ ગયા હતા પરંતુ તેને આ મારૂં ગામ નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીનું વધુમાં કાઉન્સેલીગ કરતાં તેમણે જણાવ્યું કે હું રેલ્લાવાડા ગામમાં ખરીદી કરવા જતી હોવાનું જણાવ્યું હતું. તેથી સખી વન સ્ટોપ સેન્ટરનાં સ્ટાફ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ ટાઉન પોલીસ દ્વારા તપાસ કરતાં જાણવા મળેલ કે યુવતી રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બિચ્છુંવાડા તાલુકાના વિરપુર ગામના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ટાઉન પોલીસ સ્ટેશનમાં સંકલન કરીને પોલીસ સ્ટાફ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરનાં સ્ટાફ દ્વારા યુવતીને તેઓનાં પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:55 am

ગર્વની વાત:ઉમેદપુરા પ્રાથમિક શાળાને વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

લીમખેડા તાલુકાની દુધિયા પગાર કેન્દ્રની ઉમેદપુરા પ્રા.શાળાના આચાર્ય રીટાબેન પટેલે શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શાળાને પોલીથીન પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી છે. જુન 2025થી આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અભિયાનનો મુખ્ય હેતુ બાળકો જન્મદિવસ નિમિત્તે ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ લાવીને પક્ષીને આપે, બાળકના જન્મ દિવસે બાળકને આચાર્ય તરફથી કૂંડા સાથે ઔષધિય વનસ્પતિનો છોડ અને કાપડની થેલી આપવામાં આવે છે. ઘરે નકામુ પ્લાસ્ટિક એકત્ર કરે અને શાકભાજી સહિત ખરીદી માટે કાપડની થેલીનો ઉપયોગ કરે તેવા સંદેશાનો પ્રચાર પ્રસાર કરાયો હતો. જેમાં બાળકોને ચોકલેટના બદલે ફ્રુટ જેવા કે, જામફળ, સરફરજન, કેળાની વહેચણી કરી બાળકોના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી બાળકોના દાંત સહિત આરોગ્યની જાળવણી થયાનુ જોવા મળ્યં હતું. પ્લાસ્ટિકની નકામી એકત્ર કરવામાં આવેલી બોટલો દ્વારા ગાર્ડનીંગમાં ઉપયોગ કરી ઇકો ક્લબની સુંદર કામગીરી કરવામાં આવી હતી. પર્યાવરણ જાળવણી માટે હાથ ધરવામાં આવેલા આ અભિયાનને સફળતા મળી અને અભિયાન બાદ શાળાને વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ચોકલેટ, પડીકા, કે પ્લાસ્ટિક બંધ કરી શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી છે. તારીખ 16 નવેમ્બર’2025 ના રોજ ઉમેદપુરા પ્રાથમિક શાળાનો ગૌરવ દિવસ પ્લાસ્ટિક મુક્ત અભિયાન વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેથી આચાર્ય રીટાબેન પટેલનું મદદનીશ સચિવ પુલકિતભાઇ જોશીના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:54 am

ફતેપુરીના બૂટલેગરે ડેરીના ચેરમેનને ધમકી આપી:ચેરમેન હું બનવાનો છું તમારાથી થાય તે કરી લો

કાલોલ તાલુકાના અલવા ગામ નજીક ફતેપુરી ગામે રહેતા રંગીત ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડને ઘરે એલસીબી પોલીસે રેડ કરી પ્રોહી મુદામાલ કબજે કર્યો હતો. ત્યારે સાંજના સમયે નશાની હાલતમાં રંગીતસિંહ ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડ ડેરી પર આવી ક્યાં છે ચેરમેન ક્યાં છે સેક્રેટરી રમેશભાઈ તેમ કહી બંનેને હટાવી દઈશ અને ચેરમેન હું બનવાનો છું તમારાથી થાય તે કરી લો ડેરી પણ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી ગાળો બોલતો હતો. જે અંગે સેક્રેટરી ચેરમેન તેમજ ડેરીના સભ્યો દ્વારા કાલોલ પોલીસમાં બુટલેગર વિરૂધ્ધ અરજી આપી હતી. જેની જાણ બુટલેગરને થતા ચેરમેનના ઘરે આવી ચેરમેનના પુત્ર રાહુલને જણાવ્યુ હતુ કે, તારા પિતા સુરેન્દ્રસિંહ મારી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા છે. તેમ કહી ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા 112 ને ફોન કરતા પોલીસ આવી હતી. ડેરીના ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડે કાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બુટલેગર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:53 am

અનિયમિત સાફસફાઈ અને કચરાના ઢગલાને કારણે ગંદકી:ગોધરાના પોલન બજારમાં શાળા પાસે સફાઇના અભાવે કચરાના ઢગલા

ગોધરા પોલન બજાર વિસ્તારમાં મૂકાયેલા બે કન્ટેનર કચરાથી ભરાઈ જતાં કચરો બહાર રોડ પર ફેલાઈને ઢગલા થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનિયમિત સાફસફાઈ અને કચરો રોજબરોજ નહીં હટાવવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.ગંદકીના ભરમાર વચ્ચે શાળાએ આવતા વિધાર્થીઓ સહીત લોકો નું આરોગ્ય જોખમ માં મુકાયું છે. ગોધરાના પોલન બજાર શાળા નજીક અનિયમિત સાફસફાઈ અને કચરાના ઢગલાને કારણે ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે. પોલન બજારના ભરચક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કચરાના ઢગલા થતાં સ્થાનિકો, શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ સહિત અનેક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારમાં મૂકાયેલા બે કન્ટેનર કચરાથી ભરાઈ જતાં કચરો બહાર રોડ પર ફેલાઈને ઢગલા થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનિયમિત સાફસફાઈ અને કચરો રોજબરોજ નહીં હટાવવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. કચરાના ઢગલામાંથી દુર્ગંધ ફેલાતા લોકોને નાક દબાવીને પસાર થવું પડે છે.મુખ્ય માર્ગ પર ગંદકીને કારણે રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે.આ સ્થળે અનેક વાર કચરામાં આગ લાગવાના બનાવો પણ બની ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:51 am

માર માર્યો:હાલોલના પ્રેમલગ્નમાં સાક્ષી બનનારા યુવકને અપહરણ કરીને ઝાડ સાથે બાંધીને માર માર્યો

હાલોલ તાલુકાના યુવક - યુવતીએ બે મહિના પહેલાં પ્રેમ લગ્નમાં સાક્ષી બનેલા યુવકને કાલોલના પીગળી ગામમાંથી બાઈક પર અપહરણ કરી યુવતીના કુટુંબના પાંચ ઈસમોએ ગામમાં લાવી ઝાડ સાથે બાંધીને મારી મારતાં પાંચેય ઈસમો વિરૂદ્ધ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલોલના કાશીપુરાના સતીષભાઇ ચંદુભાઈ પરમારના કુટુંબી વિનોદભાઇ રયજીભાઇ પરમારે હાલોલના ત્રિકમપુરાના રાકેશભાઈ રણછોડભાઈ પરમારની પુત્રી હેતલ સાથે તા.15 સપ્ટે 2025ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. જેમા સતિષે સાક્ષી તરીકે સહી કરી હતી. ત્યારે તા.13 નવે.ના રોજ સતિશ અને હેતલને વિનોદ બાઇક ઉપર હાલોલ બસસ્ટેશન સુધી મુકવા ગયો હતો. જેની જાણ યુવતીના ઘરના લોકોને થતાં યુવતીના કુટુંબીઓ ઘરે આવતા હોવાથી વિનોદના માતા પિતા કાલોલના મોટી પીંગળી ગામે આવતા રહ્યા હતા. બે દિવસ પહેલા સતિશ પણ કાશીપુરાથી પીગળી ખાતે આવ્યો હતો. ત્યારે તા.15 નવે.ના રોજ સાંજના સમયે સતિષ પીંગળીની અેક દુકાન પરથી ધરે જતો હતો. ત્યારે ત્રિકમપુરા ગામના 5 લોકો બે બાઇક ઉપર આવી સતિષને માર મારી યુવતી વિશે પુછપરછ કરી સતિષને બાઇક ઉપર બેસાડીને ખોડીયારપુરાથી મલાવ ચોકડી પાસેની નદી બાજુ લઇ જઇ મારમાર્યો હતો. અને ત્યાંથી ત્રિકમપુરા છોકરીના ધર પાસેના લીમડાના ઝાડ સાથે બાંધી છોકરી અંગે પુછપરછ કરી ધમકી આપતા હતા. જેની જાણ સતિષના કાકીને થતા કાકીએ 112ને જાણ કરતા પોલીસ આવતા 5 લોકો સતિષને મુકીને જતા રહ્યા હતા. ત્યાર બાદ અપહરણ કરનારા નિલેશભાઈ રણછોડભાઈ પરમાર, જીગરભાઈ હસમુખભાઈ પરમાર, સુનિલભાઈ રાવજીભાઈ પરમાર, ઇન્દ્રજીત ઉર્ફે મોન્ટુ અરવિદભાઈ પરમાર અને અનીલભાઈ દરથભાઈ પરમાર તમામ રહે.ત્રિકમપુરા, તા.હાલોલ વિરુધ્ધ કાલોલ પોલીસ મથકે સતિષે ગુનો નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:51 am

ગામના યુવકે લલચાવી કિશોરી પર અત્યાચાર કર્યો:ધાનપુર તાલુકામાં સગીરાનું અપહરણ કરી યુવક દ્વારા દુષ્કર્મ

ધાનપુર તાલુકાના એક ગામમાં સગીરાની સાથે થયેલા ગંભીર ગુનાએ ચકચાર મચાવી છે. ગામના જ એક યુવકે તા. 30 ઓક્ટોબર, 2025ના રોજ સવારે અંદાજે સાત વાગ્યાના અરસામાં 17 વર્ષ 5 મહિનાની કિશોરીને લલચાવી–ફોસલાવી અપહરણ કરી ભાગે લઈ ગયો હતો. યુવકે કિશોરીને પોતાની પત્ની તરીકે રાખવાની વાત કરીઅજાણી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદ યુવક અને કિશોરી બંને ગામના જ હોવાને કારણે યુવકના પિતાએ સગીરાના પિતાને સમજાવટ કરી હતી કે દીકરી મળી આવે તો પરત સોંપી દેવામાં આવશે. પરંતુ કિશોરી પાછી મળ્યા પછી તેણે પોતાના પર થયેલા અત્યાચારની વિગત વાલીજનોને જણાવી હતી. ત્યારબાદ સગીરાના પિતાએ તમામ ઘટનાની ધાનપુર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે સગીરાના નિવેદનના આધારે યુવક વિરુદ્ધ અપહરણ, સગીરાને લઇ જઈ અનૈતિક કાર્ય અને દુષ્કર્મ સહિતની ધારાઓ હેઠળ ગંભીર ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:49 am

ગ્રામસભામાં ટાવર માટે ઠરાવ:ઢેઢીયા પંચાયતમાં ઇન્ટરનેટ સુવિધાના‎અભાવે 5000થી વધુ લોકો પરેશાન‎

સંજેલી તાલુકાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલ ઢેઢીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં 21મી સદીમાં પણ લોકોને ઇન્ટરનેટ જેવી પાયાની સુવિધા માટે ફાંફા મારવા પડી રહ્યા છે. જંગલ અને ડુંગર વિસ્તારમાં પથરાયેલા ઢેઢીયા, ગલાનાપડ, કડવાનાપડ, વાણીયાઘાટી, અને ઢેઢીયાનળો સહિતની વસાહતોમાં પાંચ હજાર ઉપરાંતની વસ્તી ઇન્ટરનેટના અભાવે સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી રહી છે. વર્તમાન ડિજિટલ યુગમાં સરકારની તમામ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. પરંતુ ઢેઢીયા વિસ્તારમાં ઇન્ટરનેટના સિગ્નલ ન હોવાથી શાળા, આંગણવાડી કેન્દ્ર, પંચાયત ઘર, સસ્તા અનાજની દુકાનો અને આરોગ્ય કેન્દ્ર જેવા સરકારી ભવનોનું કામકાજ ખોરવાયું છે. પંચાયત ઘરમાં જાતિ-આવકના દાખલા, ખેતીની નકલો, ખેડૂત સહાય યોજનાઓ અને ટેકાના ભાવ મેળવવાની અરજીઓ ઓનલાઈન કરવાની હોય છે. તે જ રીતે શાળાઓમાં બાળકોની હાજરી અને મધ્યાહન ભોજનનું સંચાલન પણ ઓનલાઈન કરવું પડે છે. વ્યાજબી ભાવની દુકાનોમાં તો ફરજિયાત ઓનલાઈન પદ્ધતિ સિવાય ગ્રાહકોને અનાજ વિતરણ કરી શકાતું નથી. જેનાથી ગરીબ પરિવારોને ભારે હાલાકી વેઠવી પડે છે. આટલી મોટી વસ્તી ધરાવતા અનેક ગ્રામીણ વિસ્તારો હોવા છતાં ઢેઢીયા વિસ્તારમાં કોઈ પણ કંપનીના ઇન્ટરનેટ ટાવર ઊભા કરવામાં આવ્યા નથી. ઇન્ટરનેટ સુવિધાના અભાવે સ્થાનિક યુવાનોના શિક્ષણ અને રોજગાર પર પણ વિપરીત અસર પડી રહી છે. સ્થાનિકોની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સરપંચ, પંચાયત સભ્યો અને ગ્રામજનોએ આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:49 am

સંકલન બેઠકમાં અનેક સૂચનો કરાયાં‎:દાહોદમાં એસટી ડેપો, રેલવે સ્ટેશન અને‎સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવો‎

દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રભારી મંત્રીશ્રીએ દાહોદ જિલ્લાના તેમજ આદિજાતી લોકોના વિકાસ માટેના કામોને પ્રાથમિકતા આપીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાહોદમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષની જરૂર છે. જેમાં આદીજાતિઓમાં રહેલું કુપોષણ, માતા-બાળકના થતા મૃત્યુ દરને ઘટાડવા જરૂરી છે. વેક્સીનેશનની કામગીરી તેમજ સાથે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે. હ્યુમન ઇન્ડેક્ષને લગતા તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને દર મહીને મીટીંગ કરીને એનો રીપોર્ટ રજુ કરવાનો રહેશે. આ સાથે એમણે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળના કામો હેઠળ હજી પણ ઘણો સુધારો લાવી શકાય એમ કહ્યું હતું. દાહોદમાં ટુરીઝમ ક્ષેત્રે વિકાસ થાય, સ્થાનિક રોજગારી, આદિજાતિ હાટ, રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યા, સ્વચ્છતાને લઈને ગંભીરતાથી કામ કરવું, જેમાં એસ.ટી. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સાથે તમામ સરકારી કચેરીઓમાં ખાસ કરીને સ્વચ્છતા જળવાય તે ખુબ જ જરૂરી છે. વિકાસના મંજુર થયેલ કામોમાં વિલંબ ન કરતાં સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાની સુચના આપી હતી. આ દરમ્યાન ઉપસ્થિત પદાધિકારીઓએ એમ.પી.-એમ.એલ.એ. ના આયોજન અંગેના પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેનું નીતિ-નિયમોને ધ્યાને રાખીને નિરાકરણ લાવવા તેમજ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા કલેકટર યોગેશ નિરગુડેએ તમામ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:48 am

રાત્રિએ પેટ્રોલિંગ વધારી ગૌમાતાને ‘નગરમાતા’ જાહેર કરવા માગ:ગોધરામાં ગૌતસ્કરી કરતી ગેંગને પકડી પાડવા આવેદન અપાયું

ગોધરા શહેરમાં ગેરકાયદેસર ગૌતસ્કરીની ઘટનાઓ સતત વધતી હોય ત્યારે જાફરાબાદ સાયન્સ કોલોની વિસ્તારમાં થોડા દિવસ પહેલાં વહેલી સવારે નંબર વિનાની સફેદ ગાડીમાં આવેલા શખ્સોએ ગાયને કારમાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનીકોએ બુમાબુમ કરતા ગૌતસ્કરો ગાડીમાં જ ભાગી ગયા. આ આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગૌતસ્કરી, ગેરકાયદેસર કતલખાનાં અને ગૌરક્ષકો પર હુમલાની ઘટનાઓ વધી રહી હોવાથી નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે. જેથી ગોધરા શહેરના યુવાનોએ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં યુવાનોની મુખ્ય માંગણી ગૌમાતાને “નગરમાતા” જાહેર કરવામાં આવે. જેથી ગાયને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે. સાથે ગૌચર જમીનની રક્ષા, ગૌરહેઠાણની સુવિધા મજબૂત કરવી, ગાયો માટે પ્લાસ્ટિક રહિત શુદ્ધ આહારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જેવી માંગણીઓ કરાઇ તેમજ રજુઆત કરી કે ગેરકાયદેસર ગૌતસ્કરી રોકવા રાત્રિ પેટ્રોલિંગ વધારવા, બિનકાયદેસર કતલખાનાં પર દરોડા તેજ કરવા અને CCTVના આધારે ઘટનાના આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:46 am

અર્જુન મોઢવાડિયા દ્વારા ભૂમિપૂજન:ફતેપુરા, સંજેલીમાં વિકાસ કાર્યો માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન

ફતેપુરા મુકામે નવા રોડ અને ફતેપુરા-સંજેલીમાં ફોરેસ્ટ વિભાગના નવા સર્કિટ હાઉસ માટે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઇ હતી. આ અવસરે ફતેપુરાના પોલીસ લાઇન રોડથી તેલગોળા શાળા અને બાયપાસ રોડ સહિત તાલુકાના અન્ય ગામોમાં કુલ 34 રસ્તાઓ માટે વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે ફતેપુરા-સંજેલીમાં સર્કિટ હાઉસ માટે કુલ 17 કરોડ રૂપિયાના ખર્ચે કામો હાથ ધરવામાં આવ્યા હતા. ભૂમિપૂજન વિધિ બાદ ફતેપુરા ફોરેસ્ટ વિભાગ કચેરીમાં જાહેર સભામાં મંત્રીએ લોકોએને સંબોધતા જણાવ્યું કે જંગલ અને પર્યાવરણનું રક્ષણ આપણા સૌની નૈતિક ફરજ છે અને જંગલ બચાવીએ તો આપણે બચીશું. નહીંતર પ્રકૃતિનો નાશ આપણું અધોપતન થશે. મંત્રીએ આગાહી કરી કે આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં વન વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પર ખાસ ભાર મુકાશે. કૃષી મંત્રી રમેશ કટારાએ પણ લોકોને ઉદબોધન આપી સરકારની વિકાસ ગાથા લોકો સમક્ષ મુકી હતી અને સાંસદ જશવંતસિંહ ભાભોરે લોકોએને સરકારની વિવિધ યોજનાઓ અને સ્થાનિક વિકાસ કાર્યોની માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:45 am

કોળી સમાજનું 2025થી નવું સામાજિક બંધારણ અમલમાં:કોઇ પણ પ્રસંગમાં માત્ર ચા-ગોળ-ધાણાનો જ ઉપયોગ, લગ્નના જમણવારમાં એક જ મીઠાઇ, કોઇ પ્રસંગમાં દારૂ કે નશો કરતા પકડાય તેને 11,000નો દંડ

સિંગવડ તાલુકામાં કોળી કર્મચારી મંડળ દ્વારા આયોજિત તૃતિય તેજસ્વી વિદ્યાર્થી સરસ્વતી સન્માન અને સમાજરત્ન સન્માન સમારંભ–૨૦૨૫ ભવ્ય રીતે યોજાયો. આ સમારંભમાં સિંગવડ, લીમખેડા અને સંજેલી તાલુકાના ઉત્તમ માર્ક્સ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિવિધ સરકારી વિભાગોમાં નવી નિમણૂક થયેલા યુવા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજમાં વધતા અતિશય ખર્ચ, પ્રદર્શન અને ત્યારબાદ ઉપજતા આર્થિક તણાવને અટકાવવા માટે સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લાનું સામાજિક બંધારણ–2025 જાહેર કરાયું હતું. જે નિયમોનો હેતુ સમાજમાં સમાનતા, સાદગી અને આર્થિક સ્થિરતા જાળવવાનો છે. સમાજના નવા નિયમોની મુખ્ય જોગવાઈઓ (2025થી અમલ) સગાઈ પ્રસંગે માત્ર 11 કે 21 માણસો જ લાવવા–લેવા., કોઈપણ પ્રસંગમાં માત્ર ચા અને ગોળ–ધાણાનો જ ઉપયોગ, લગ્નમાં એક જ DJ, લગ્ન પ્રસંગમાં કપડાનું ઓઢણ અને નોતરીયાળમાં વાજિંત્ર લાવવાનું સંપૂર્ણ બંધ, જમણવાર – દાળ-ભાત, રોટલી, શાક અને એક જ મીઠાઈ, કન્યાદાનમાં જરૂરિયાત મુજબના ઘર વપરાશના વાસણો, દાગીના – 250 ગ્રામ ચાંદીના પાયલ અને 1 તોલાનો સોનાનો દોરો, દરેક ગામમાં દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન, અન્નનો બગાડ નહીં કરવાની જાહેરાત કરાઈ છે. કોઈપણ પ્રસંગમાં બીડિ, સિગારેટ, તમાકુ, પાન–ગૂટકા નો ઉપયોગ નહીં., મરણ પ્રસંગે માત્ર કફન પ્રથા; કોઈ પણ પ્રકારનાં વાજિંત્ર નહીં., બારમો – માત્ર ગામની ભજન મંડળી; ભેટ–વસ્તુઓ પૂર્ણ પ્રતિબંધિત, સમાજના કોઈપણ પ્રસંગમાં દારૂ કે અન્ય નશો પકડાયેલ વ્યક્તિને ₹11,000 દંડ, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓમાં લગ્ન જેવી ઉજવણીઓ સદંતર બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, ભૂતપૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ સહિત બક્ષી પંચ મોરચાના પ્રમુખ સરદારભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ સુધારા માટે બંધારણ બનાવ્યું છે આજના આ મોંઘવારીના યુગમાં સમાજ ખોટા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓથી ઘેરાયેલો છે. ત્યારે સમાજ એ પોતાનો એક આગવું બંધારણ બનાવી અને સમાજને ખોટા કુરિવાજો ખર્ચાઓ અને વ્યસનથી દૂર થાય. સાથે આર્થિક સંકડામણમાંથી ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ જે લાચારી થી જીવન જીવી રહ્યો છે. અને એના લીધે ઘણીવાર દેવાના બોજમાં ન કરવાનું કરી બેસે છે. જેથી બંધારણ બહાર પાડ્યું જેનાથી સમાજમાં સુધારા આવે અને આવા બનાવ ન બને.> શ્રી મહેશ્વરાનંદ, દાહોદ જિલ્લા એકતા મહાસંઘ અધ્યક્ષ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:44 am

ગર્વની વાત:સેન્ટર મેરી સ્કૂલના 2 , બારિયા રત્નદીપ સ્કૂલની 1 વિદ્યાર્થિનીની પસંદગી

દાહોદની સેન્ટ મેરીઝ સ્કૂલના બે તેજસ્વી વિદ્યાર્થીઓ અને દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિની ઈસરોમાં 10 દિવસ માટે પહોચ્યા છે. અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્ય પદ્ધતિથી સહિત વિવિધ બાબતો અંગે માહિતગાર થશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા દાહોદની સેન્ટ મેરીઝ સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહના બે તેજસ્વી વિદ્યાર્થીઓ ધો. 11 અભ્યાસ કરતા હર્ષિત આહેલાણી અને વદન બંદુકવાલાની પસંદ તથા દેવગઢ બારીયાની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મિત્તલ દિનેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે. આ બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હાલમાં 15 નવેમ્બર થી 23 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં ખાતે SAC-ISRO કેમ્પસમાં યોજાયેલા રહેણાંક કાર્યક્રમમાં દાહોદ જિલ્લાનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ સઘન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અવકાશ વિજ્ઞાન, ઉપગ્રહ ટેકનોલોજી અને સંશોધનના વિવિધ પાસાઓ વિશે ઊંડું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન મેળવી રહ્યા છે, જે તેમના ભવિષ્યના વૈજ્ઞાનિક માર્ગ માટે પાયારૂપ બની રહેશે. ISRO જેવી વિશ્વની અગ્રણી સંસ્થાના કેમ્પસમાં પ્રત્યક્ષ તાલીમ મેળવવી એ વિદ્યાર્થીઓ માટે એક દુર્લભ અને પ્રેરણાદાયી અનુભવ છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વિભાગોમાં વૈજ્ઞાનિકો સાથે મુલાકાત લેશે અવકાશીય ટેકનોલોજી સંશોધન ભાવિ મિશન રોજિંદા જીવન પર અવકાશીય ટેકનોલોજીની અસર અને સ્ટેમ કારકિર્દી પ્રોત્સાહિત કરવાના અનેક મુદ્દાઓ અંગે માહિતગાર થશે અને વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ અંગે વાકેફ થશે. જોકે આ કાર્યક્રમ સંપૂર્ણ રાજ્યમાંથી માત્ર 91 વિદ્યાર્થીને સ્થાન મેળવ્યું છે. જેમાં દાહોદની સેન્ટ મેરી સ્કૂલ તથા દેવગઢ બારીયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ જિલ્લાનું નામ રોશન કર્યું તે બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. વદન બંદુકવાલા, હર્ષિત આહેલાણી અને મિત્તલ પટેલનો ફોટો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:38 am

ઓવરલોડ વાહનોથી રોડ બેસી ગયો:છોટાઉદેપુરમાં સફેદ રેતીના કાળા કારોબારથી સ્થાનિકો વિફર્યા

છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર કરનારાઓએ ફરી એકવાર માથું ઉચકતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય એ છે કે આ સફેદ રેતીની રાજ્ય બહાર મોટી માત્રામાં માંગ દિવસે ને દિવસે વધી રહી છે. આથી કાયદાને ઘોળીને પી જનારાઓમાં પણ વધારો થતાં સફેદ રેતીના કાળા કારોબારમાં પણ વધારો થયો છે. જેનાથી સ્થાનિકો ત્રસ્ત થયા છે. બોડેલીના રણભુણ પાટીયા બસસ્ટેશન પરથી બુમડી ચોકડી, સિહોદ, સિથોલ, લોઢણથી ભારજ નદીમાંથી રેતી ભરવા શોર્ટકટ રસ્તો અપનાવી રાત દિવસ રેતી ભરેલા ટ્રેક્ટરો સહિત હાઇવા ટ્રકો બેફામ રીતે હંકારી આવતા ચાલકો સામે ખેડૂતો સહિત ગ્રામજનો વિફર્યા હતા અને વાહનોને યુ ટર્ન લેવડાવી પરત તગેડી દીધા હતા. છોટાઉદેપુર જિલ્લામાં દિવાળીની વિદાય સાથે ફરી એકવાર ઓરસંગ તેમજ ભારજ નદીમાંથી સફેદ રેતીના કાળા કારોબારમાં વધારો થતાં જનતાએ એને અટકાવવા કમર કસી હોય તેમ લાગી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારમાં રોડ રસ્તાઓ બનાવવા લોઢાના ચણા ચાવવા પડે છે, ત્યારે માંડ રોડ રસ્તા બનાવાય છે. ત્યારે આ માર્ગ ઉપરથી ઓવરલોડ પસાર થતા વાહનોથી માર્ગની સ્થિતિ કફોડી બની છે. માતેલા સાંઢની જેમ જતા આ ઓવરલોડ રેતીના વાહનોથી લોકોના જીવનું જોખમ પણ વધી જતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બોડેલી તાલુકાના પાટીયામાં મેરીયા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે. તેનું હજુ વિધિવત રીતે લોકાર્પણ પણ કરાયું નથી ત્યાં તો રેતીના ડમ્પરો અને રાત દિવસ ટ્રેક્ટરોનું ભારણ વધતાં પુલ પર બનાવેલા રોડ પર ગાબડા પડી જતાં ગ્રામજનોએ વિફરીને આવા વાહનોને તગેડી મૂક્યા હતા. તંત્ર દ્વારા ઓવરલોડ અને સફેદ રેતીના કાળા કારોબાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાય જેથી કરી અકસ્માતની ઘટનામાં નિર્દોષોનો ભોગ લેવાય છે તેમાંથી રાહત મળે. રેતી ખનનથી દર વર્ષે ઉનાળાની‎શરૂમાં જ પાણીના સ્તર ઘટી જાય છે‎છોટાઉદેપુર નગરની અંદાજે 30 હજારની વસતિને ઓરસંગ નદી‎પાણી પૂરું પાડે છે. પરંતુ ઓરસંગમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત‎‎પહેલાં પાણીના સ્તર‎‎ઘટી જાય છે. અને‎‎નર્મદા નદીનું વેચાતું‎પાણી હાફેશ્વરથી માંગવું પડે છે. રેતીના સ્તર ઘટી જતાં ઓરસંગમાં‎આવેલા નગર પાલિકાના વોટર વર્ક્સના કૂવા તથા પાઇપ લાઈનને‎ચોમાસામાં પાણીના પ્રવાહને કારણે નુકસાન થઇ રહ્યું છે. પરંતુ‎નગરપાલિકાના સત્તાધીશોને પણ માફિયાઓ ગાંઠતા નથી. થોડા‎સમય અગાઉ 4 વખત નદીમાં ટ્રેકટરો ઉતરવાના રસ્તે ખાડા ખોદાવ્યા‎પરંતુ દિવસે ખાડા ખોદાય અને રાત્રે માફીયાઓ દ્વારા પૂરી દેવાય છે.‎આ સિલસિલો ક્યાં સુધી ચાલશે તેવા સવાલ પ્રજા કરી રહી છે.‎

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:31 am

લોનના નામે વેપારીને ચૂનો ચોપડ્યો:ગોધરાના વેપારી સાથે મિલકત પર લોનના‎નામે રૂપિયા 34 લાખની છેતરપિંડી કરી‎

ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં રહેતા અને ‘શ્રી યમુના ટ્રેડર્સ’ નામે ટીમરૂના પાનનો વેપાર કરતાં રૂપેશ પ્રકાશભાઈ જોબનપુત્રાને લોન અપાવવાના બહાને તેમને રૂ 34 લાખથી વધુની છેતરપીંડી કરતાં પોલીસ મથકે સાત સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગોધરામાં રહેતા રૂપેશ જોબનપુત્રાને લોન લેવાની હોવાથી ગોધરાના મનોજ ચેલારામાણી, યોગેશ કિશનચંદ ભમવાણી તથા ટુવા ગામના ભાવિક પટેલે “પ્રાઈવેટ ફાઈનાન્સમાંથી સરળતાથી લોન અપાવવાની” લાલચ આપી તેમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા હતા. ભેજાબાજોએ તેમને વડોદરાની જય અંબે ડેવલોપર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ ખાતે લઇ ગયા હતા.ગોધરાના યોગેશ કિશનચંદ ભમવાણી,મનોજ ચેલારામાણી (ગોધરા), ટુવાનો ભાવિક પટેલ, વડોદરાની વૈશાલી પટેલ, જિગ્નેશ સોની અને ભાવના ભટ્ટ તેમજ રાજકોટના કાળુભાઈ આહીરનાએ 11 ચેક સાથે રોકડ, આરટીજીએસ અને આંગળીયા મારફતે લોન પાસ કરવાના 34 લાખ રૂપિયા આપ્યા હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. રૂપેશ જોબનપુત્રાએ લોનની રકમ ના આવતા આપેલા નાણા પરત માંગતા ભેજાબાજોએ ધમકી આપીને સમાધાન કરવા દબાણ કરતા હતા.જે બાદ તેઓને વડોદરા લઈ જવામાં આવ્યા હતા.જ્યાં નોટરી દસ્તાવેજ પર જબરજસ્તીથી સહી લેવડાવવામાં આવી હોવાનું જોબનપુત્રાનું કહેવું છે. યોગેશે તેમના પાસેથી વધુ 6 લાખની માંગણી કરી અને ચેક વટાવતા તે રીટર્ન થયેલ બાદ ગોધરા કોર્ટમાં નેગો એક્ટ મુજબ કેસ નોંધાવ્યો હતો.જેથી ગોધરા ખાતે પોલીસ મથકે લોન અપાવવાના નામે વિશ્વાસઘાત, છેતરપીંડી, દબાણ, ધમકીઓ અને નોટરી પર બળજબરીપૂર્વક સહી કરાવ્યાની ફરીયાદ નોંધવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:28 am

ફરતું પશુ દવાખાનું‎ બન્યું આશીર્વાદ સમાન:કદવાલ ગામમાં વિયાણમાં તકલીફ પડતા ઢોરની સફળ સારવાર કરાઇ

રાજયના પશુપાલન વિભાગ અને ગ્રીન હેલ્થ સર્વિસિસના સંકલનથી છોટાઉદેપુર જિલ્લામાં 10 ગામ દીઠ ફરતું પશુદવાખાનું શરૂ કરાયું છે. જે છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયું છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકાના કદવાળ ગામના રહીશ ભાવેશભાઈ બારીયાની ભેશને પ્રસુતિ તકલીફ પડતા તેમણે પશુ હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કર્યો એટલે કદવાળ લોકેશન ઉપરથી 1962ની ટીમ તાત્કાલિક તેમના ઘરે પહોંચી હતી. ફરજ પરના ડૉ. નયન બરંડા તથા તેમના પાયલોટ કમ ડ્રેસર મોશીન અલી મકરાણી ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ ભેંશનું નિરીક્ષણ કરતા બચ્ચું અંદર ઊંધું હતું અને બચ્ચું મરણ પામેલ હતું તથા બચ્ચું ફૂલી ગયું હતું. એક કલાક જેટલી મહા મહેનત બાદ બચ્ચું સફળતા પૂવર્ક બહાર ખેંચીને ભેંશનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જરૂરી ઈન્જેક્શન આપ્યા હતા. આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ 1962નો લાભ લીધેલ હતો. તેમણે ગુજરાત સરકારની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી. છોટાઉદેપુર જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર રૂપેશભાઇ અને પ્રોગ્રામ મેનેજર ડો. પંકજ મિશ્રાએ આ કાર્યની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:22 am

મારમાર્યો:ગોધરામાં સાક્ષી રહેવા બાબતે એકને મારમાર્યો

ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ ઇદગાહ મહોલ્લા વિસ્તારમાં રહેતા હસન અબ્દુલ હકીમ કારીગર 16 નવેમ્બરના રોજ સવારના અરસામાં ગોંદરા વિસ્તારમાં આવેલ મૈત્રી સર્કલ પાસે ગયા હતા. તે દરમ્યાન તારિક નૂર મોહમ્મદ મિસ્ત્રી અને શાહરૂખ એહમદ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તારો ભાઈ સાક્ષીમાં કેમ રહ્યો છે તેમ જણાવીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી હસન કારીગરે અપશબ્દો બોલવાની ના પાડતા તારિક મિસ્ત્રીએ ઉશ્કેરાઈ જઈને મોઢાના ભાગે મુક્કો માર્યો હતો તેમજ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઇ હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:22 am

સ્નેહમિલન કાર્યક્રમ:ભોલાવ જિલ્લા પંચાયતના સ્નેહમિલન કાર્યક્રમમાં 2 હજાર લોકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ, નંદેલાવ, રહાડપોર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીએ સૌ મહાનુભાવો અને લોકોનું સ્વાગત અને આવકાર કર્યો હતો. નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:20 am

પ્રવાસીઓને હેરાનગતિ:કવાંટના તુરખેડા સુધી પહોંચવાનો રસ્તો ખરાબ થતાં પ્રવાસીઓને ભારે મુશ્કેલી

કવાંટ તાલુકામાં આવેલું તુરખેડા ગામ કુદરતી સૌંદર્યથી શોભતું હિલ સ્ટેશન જેવી ઠંડક અને હરિયાળી ધરાવે છે. ગામની આસપાસ પહાડી વિસ્તારો, ઝરણા અને ઘન ઝાડોની હરિયાળી પ્રવાસીઓનું મન મોહી લે છે. વાંકાચૂકા માર્ગોથી પસાર થઈ અહીં પહોંચતા પ્રવાસીઓ કુદરતી શાંતિનો અભૂતપૂર્વ અનુભવ કરે છે. પરંતુ ગામ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હોવાને કારણે આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી મોસમ બાદ કાચા રસ્તા પર મોટા ખાડા અને મોટી કપચી કારણે વાહનચાલકોને જોખમ ભર્યું પ્રવાસ કરવો પડે છે. સ્થાનિક લોકો અનુસાર અનેક વખત માર્ગ સુધારણા માટે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ ઠોસ કામગીરી કરાઇ નથી. પ્રવાસન વિકાસ માટે તુરખેડા ગામ પાસે વિશાળ સંભાવનાઓ હોવા છતાં માર્ગ વ્યવસ્થાની અછતથી સંખ્યા ઘટાડે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:15 am

બાળકોએ બનાવી પ્લાસ્ટિક મુક્ત શાળા‎:હિંમતનગરની મહેરપુરા પ્રાથમિક શાળાની પ્લાસ્ટિક મુકત શાળા તરીકે વર્લ્ડ વાઈડ રેકોર્ડ બુકમાં સ્થાન

પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને થઇ રહેલા નુકસાન અંગે શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા તેમજ શાળાને પ્લાસ્ટિક મુકત બનાવવા બદલ હિંમતનગરની મહેરપુરા પ્રાથમિક શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. કપડવંજની મહમદપુરા પ્રાથમિક શાળાના મિનેષ પ્રજાપતિ તથા પુલકુત જોશીએ ગુજરાત રાજયની તમામ શાળાઓન પ્લાસ્ટિક મુકત બનાવવાનું અભિયાન શરૂ કર્યુ હતું. જેમાં મહેરપુરા પ્રાથમિક શાળાએ રજિસ્ટ્રેશન કરાવીને ખુબ જ ટૂંકા ગાળામાં શાળાને પ્લાસ્ટિક મુકત બનાવતા શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મહેરપુરા શાળાના આચાર્ય પ્રકાશભાઇ વણકરે જણાવ્યું હતું કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકશાન, ચોકલેટ - પડીકા ખાવાથી થતાં નુકસાન અંગે સતત સમજ અપાઇ હતી. ઉપરાંત ઘરમાં પડેલ પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલમાં ભરીને શાળાએ મંગાવાઇ હતી. શાકભાજી કે અન્ય સામાન લેવા જાય ત્યારે કપડાંની થેલી વાપરવા પ્રોત્સાહિત કરાયા હતા. જેના કારણે મહેરપુરા પ્રાથમિક શાળાના 36 બાળકો દ્વારા 500 ઇકો બ્રિકસ બોટલ ભેગી કરી શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવાઇ હતી. અભિયાનની શરૂઆત કપડવંજથી કરાઇ હતી. જેની સફળતા બાદ સમગ્ર રાજ્યમાં આ અભિયાન શરૂ થતાં મહેરપુરા પ્રાથમિક શાળાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમણે પોતાની શાળાને પ્લાસ્ટિક મુકત બનાવી દીધી છે. મહેરપુરા પ્રાથમિક શાળા પણ અભિયાનમાં જોડાઈને 500 બોટલ એકત્ર કરી પ્લાસ્ટિક મુક્ત બની છે. આ અંગેનો અહેવાલ વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સબમિટ કરતાં અભિયાન સાથે જોડાયેલ શાળાને વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર અપાયા હતા. મહેરપુરા પ્રાથમિક શાળાને પુલકીત જોશી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના નાયબ સચિવના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ અપાયો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:10 am

ભાસ્કર એક્સક્લુસિવ:હિંમતનગરમાં કૂતરાંઓનું ખસીકરણ સપ્તાહમાં શરૂ થશે

હિંમતનગર શહેરમાં કૂતરાંઓનું ખસીકરણ અને રખડતાં ઢોરોની સમસ્યાના સમાધાન માટે પાલિકાએ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દિવાળી સુધીમાં ઢોર માલિકો સાથે બેઠક કરી રજિસ્ટ્રેશન, ટેગિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા અને શહેરના 980 કૂતરાંનું ખસીકરણ કરવાનો પ્રારંભ થવાનો હતો. પરંતુ બંનેમાંથી એક પણ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યા નથી. પ્રાણી અત્યાચાર જોગવાઈઓના નિયમનને લઈ વિલંબમાં પડેલ પ્રોજેકટ એક સપ્તાહમાં ચાલુ થઈ જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જરૂરી પાંજરા અને શેડની સુવિધાઓ પાલિકાએ ઉપલબ્ધ કરાવી છે. પાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન દિલીપ પટેલે જણાવ્યું કે રખડતાં ઢોર અને શેરી કૂતરાં બંને માટે કામગીરી ચાલી રહી છે. શેરી કૂતરાંના ખસીકરણ- રસીકરણની કામગીરી ચાલુ થનાર છે. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે તા.30-07-25ની સામાન્ય સભામાં રખડતાં પશુઓની ઓળખ માલિકોની ઓળખ વગેરે માટે ટેગિંગ કરવા અને રજિસ્ટ્રેશન માટે રોકેલ એજન્સીની સમય મર્યાદા તા. 2-08-25ના રોજ પૂરી થતાં તેને એક વર્ષનું એક્સટેન્શન કરી આપ્યું છે. ઢોરવાડાની વ્યવસ્થા કરી દેવાઈ છે. માલધારીઓ સાથે બેઠક કરી રજિસ્ટ્રેશન ટેગિંગ વગેરેની કામગીરી પૂર્ણ કરાશે. શહેરમાં સર્વેને અંતે 980 કૂતરાંનું ખસીકરણ કરવા સહિત રસીકરણ ચાલુ કરાશે. પ્રાણી અત્યાચાર સંરક્ષણ જોગવાઈઓના નિયમનને લઈ થોડો વિલંબ થયો હતો. ખસીકરણ બાદ કૂતરાંઓને રાખવા માટે પાંજરા અને શેડ પણ તૈયાર થઈને આવી ગયા છે. એક સપ્તાહમાં આ કામગીરી ચાલુ થઈ જશે. સિવિલમાં ડોગ બાઈટના‎ દૈનિક સરેરાશ 7 થી 8 કેસ‎હિંમનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રખડતાં કૂતરાં આવતાં જતાં લોકોને કરડવાના બનાવ બની રહ્યા છે. હિંમતનગર સિવિલમાં દૈનિક સરેરાશ 7 થી 8 વ્યક્તિ હડકવા ન થાય તે માટેના ઇન્જેકશન લેવા આવે છે. આરએમઓ ડો.વિપુલ જાનીએ જણાવ્યું કે જાન્યુ-ફેબ્રુઆરીમાં 585, માર્ચ-મે માં 754, જૂન-ઓગસ્ટમાં 753 અને સપ્ટે-નવેમ્બર દરમ્યાન 523 મળી 10 માસ અને 16 દિવસમાં કુલ 2615 સ્ત્રી, પુરુષ બાળકોને ડોગ બાઈટ અંતર્ગત સારવાર અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:07 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:હિંમતનગર પાલિકાએ 2.78 કરોડનું બ્લોક ટેન્ડર ફરીથી બહાર પાડ્યું

હિંમતનગર પાલિકા દ્વારા બે એક માસ અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 2.78 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડ બનાવવા ઓનલાઈન ટેન્ડરો મંગાવ્યા હતા. જેમાં M300 જનરલ ગ્રેડ વાળા બ્લોક વાપરવાનું દર્શાવ્યું હતું. પરંતુ પછી સુધારાસૂચિ બહાર પાડી વ્યારા કંપની બ્લોક'' વાપરવાનો નિર્દેશ કરતાં વિવાદ ઉભો થયો હતો અને તા.6-10-25ના રોજ આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પાલિકાએ તા.17-11-25ના રોજ ફરીથી ''વ્યારા કંપની બ્લોક''ની સુધારા સૂચિ હટાવી ટેન્ડર બહાર પાડ્યું હતું. હિંમતનગર પાલિકા દ્વારા બે-એક માસ અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 2.78 કરોડના ખર્ચે બ્લોક રોડ બનાવવા ઓનલાઇન ટેન્ડર મંગાવાયા હતા. જેમાં ટેન્ડર ભરવાની છેલ્લી તા.29 ઓક્ટોબર હતી અને 10 નવેમ્બરે સાંજે ચાર કલાકે ટેન્ડર ખોલવાના છે. પેવર બ્લોક માટે 80 મીમી જાડાઈવાળા ઇન્ટર લોકિંગ કોંક્રિટ બ્લોક M300 ગ્રેડ નક્કી કરાયો હતો. આ જરૂરી માનાંક વાળો જનરલ ગ્રેડ છે જે ગમે તે ઉત્પાદક પાસેથી બીડ ભરનાર ખરીદી શકે છે. ત્યારબાદ પાલિકાએ જાહેર કરાયેલ ટેન્ડરમાં સુધારા સૂચિ બહાર પાડી સુરત નજીક આવેલ વ્યારા કંપની બ્લોક નામના ઉત્પાદકંનુ નામ દર્શાવી તેની બ્રાન્ડના જ બ્લોકની ફરજીયાત ખરીદી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:04 am

ભાસ્કર યુટિલિટી:રાજસ્થાનના સરહદી ગામો માટે મોડાસાથી નવી 4 ST શરૂ કરાઇ

રાજસ્થાનના સરહદી ગામડાઓમાં પૂરતા એસટી રૂટનો અભાવ હોવાના કારણે મોડાસાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઢેમડા અને ઢેકવા તેમજ મોટી પંડુલીના ગ્રામજનોને અવર-જવરમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તદઉપરાંત ઢુંઢેરા વિસ્તારના સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓેને સ્કૂલ કોલેજમાં પહોંચવા અને ઘરે પહોંચવા માટે પણ પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખીને મોડાસા એસટી.ડેપો દ્વારા રાજસ્થાન સરહદી ગામડાને જોડતાં ચાર નવા એસટી રૂટ શરૂ કરાતાં ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર દ્વારા લીલીઝૂડી આપી એસટી બસોને નવા રૂટ ઉપર શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જગદીશભાઈ ભાવસાર, હસમુખભાઈ પટેલ, શહેર મહામંત્રી કેતનભાઇ ત્રિવેદી, અને પિન્ટુસિંહ જિલ્લા સંગઠનના કાર્યકર્તાઓ ડેપો મેનેજર કેતનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા એસટી રૂટ શરૂ કરાયા

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:02 am

ભાસ્કર એનાલિસિસ:પેરેડાઈઝ માર્કેટની 60 દુકાનની હરરાજીમાં 3 જ પાર્ટીએ રસ દાખવ્યો

પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમય બાદ પેરેડાઈઝ પાસેની શોપિંગ માર્કેટની હરરાજી કરી હતી પરંતુ દુકાનના ભાડા, અપસેટ પ્રાઇઝ વધારે હોવાથી કોઈ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો જેથી પાલિકા દ્વારા ભાડા ઓછા કરવા અને અપસેટ પ્રાઇઝ ઘટાડવા તથા 9 વર્ષના ભાડા કરાર વધારવા દરખાસ્ત કરી હતી, જે દરખાસ્ત દોઢ વર્ષ બાદ સરકારે મંજૂર કરી હતી, મનપા દ્વારા દુકાનોની હરરાજી કરવાની પ્રક્રિયા કરી તા. 17 નવેમ્બરના હરરાજી કરવામા આવી હતી, પરંતુ આ વખતે માત્ર 3 જ ફોર્મ ભરાયા હતા જેથી આ પ્રયાસ સફળ રહ્યો નહીં. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી આ માર્કેટની તમામ 60 જેટલી દુકાનોની હરરાજી સફળ થઈ ન હતી. દાયકા બાદ પાલિકા તંત્રએ હરરાજી પ્રક્રિયા કરી હતી જેમાં 60 જેટલી દુકાનો 9 વર્ષના ભાડા કરારથી પાઘડી લઈને તેમજ એક દુકાનનું માસિક ભાડું રૂ. 10,588 થી માંડીને વધુમાં વધુ ભાડું રૂ. 27,102 રાખવામાં આવ્યું હતું. આ ભાડા પર જીએસટી અલગ રાખવામાં આવ્યો હતો. ત્યારે 3 વખત હરરાજી કરવામાં આવી હતી પરંતુ, ત્રણ પ્રયાસમાં એકપણ પાર્ટીએ દુકાન ભાડેથી લેવામાં રસ દાખવ્યો ન હતો, જેથી પાલિકાએ સરકારને ભાડું ઓછું કરવા ફેબ્રુઆરી 2023માં દરખાસ્ત મૂકી હતી અને બાદ પણ રીમાઇન્ડર કર્યા હતા ત્યારે આખરે સરકારે દરખાસ્ત મંજૂર કરી હતી. સરકારે દુકાનના ભાડામાં 50 ટકાનો ઘટાડો અને પાલિકાએ 9 વર્ષના ભાડા કરાર ને બદલે સરકારે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક અપસેટ પ્રાઈઝમાં રૂ. 50 હજાર ઘટાડવા મંજૂરી આપી હતી. પરંતુ પાલિકાએ ફરી હરરાજી પ્રક્રિયા કરી ન હતી, મનપા આવ્યા બાદ હવે દુકાનોની હરરાજી જાહેર કરી, તા. 17 નવેમ્બરના હરરાજી કરવામાં આવી હતી. ડિપોઝિટની રકમ રૂ. 75 હજારથી લઈને રૂ. 1,65,000 તેમજ દુકાનની ભાડું રૂ. 5,057 થી લઈને રૂ.12,946 રાખવામાં આવ્યું હતું, ત્યારે હરરાજીમાં 60 દુકાનો સામે માત્ર 3 પાર્ટીએ ફોર્મ ભર્યા હતા, જેથી આ હરરાજી પણ સફળ રહી ન હતી. હવે મુદ્દતમાં વધારો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

ગંદા પાણીને શુદ્ધ કરવાની કામગીરી ઠપ થઈ ગઈ‎:મનપા હસ્તકનો એસટીપી પ્લાન્ટ 15 દિવસથી ખોટકાયો

પોરબંદરના ઓડદર રોડ પર મનપા હસ્તકનો એસટીપી એટલેકે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે, જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં ખામી સર્જાતા 15 દિવસથી પ્લાન્ટ બંધ હોવાથી પ્લાન્ટનું ગંદુ પાણી ફિલ્ટર કર્યા વિનાજ નિકાલ કરવામાં આવે છે, જેને કારણે નજીકના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. પોરબંદર શહેરના ભૂગર્ભ ગટરોમાં જતું ગંદુ પાણી શુધ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર કરોડો ના ખર્ચે 19.10 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો, આ પ્લાન્ટમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે, ફોલ્ટ સર્જાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણીનું ફિલ્ટર થતું ન હોય અને ગંદુ પાણી ફિલ્ટર કર્યા વિના જ નિકાલ થાય છે. ઉલ્લેખનીય છેકે, 15 દિવસ પહેલા જ આ પ્લાન્ટ ખોટકાય જતા ફરી ગંદા પાણીને શુધ્ધ કરવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે અને શહેરની ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો ફિલ્ટર કર્યા વગર જ નિકાલ થઇ રહ્યો છે, ગંદુ પાણી નિકાલ થતા નજીક ના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. હજુસુધી ફોલ્ટ રિપેર કરવામાં આવ્યો નથી, જેને કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે ત્યારે મનપા દ્વારા વહેલી તકે ફોલ્ટ રિપેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. બ્રેકરનું સમારકામ બાદ પ્લાન્ટ કાર્યરત કરાશે : કમિશનર મનપા હસ્તકના ઓડદર રોડ પર આવેલ એસટીપી પ્લાન્ટમાં એચટી પેનલના બ્રેકરમાં બ્લાસ્ટ થતા પ્લાન્ટ બંધ છે, બ્રેકરનું સમારકામ કરવા માટે મોકલવામાં આવ્યું છે, અને બ્રેકરનું સમારકામ થઇને આવશે એટલે પ્લાન્ટ ફરી કાર્યરત કરવામાં આવશે.> એચ.જે. પ્રજાપતિ, કમિશનર, મનપા, પોરબંદર

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

દુર્ઘટના:માધવપુર હાઈવે પર આર્મીની જીપ્સી સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો

માધવપુર બીચ હાઈવે પર આર્મીની જીપ્સી સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે આર્મીના સાધનો ભરેલ વાહન પાસે ફરજ પર ઉભેલ જવાન સહિતનાઓને ગંભીર ઇજા પહોંચી હતી, આ અંગે કાર ચાલક સામે ગુન્હો નોંધાયો છે. સિકંદરાબાદમાં રહેતા સીતોન મોનીમોહન ધોષ નામના આર્મોડ રેજીમેટ નામના જવાન અને સદ્દામ હુસ્સેન મીડ્ડીયા માધવપુર બીચથી આગળ હાઈવે રોડની સાઈડમાં આર્મીના સાધનો ભરેલ વાહન પાસે પોતાની ફરજ ઉપર ઉભેલ હતા, તે દરમ્યાન 9079 નંબરની કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે બેફીકરાઇથી ગફલત ભરી રીતે, માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી, પોતાની કાર પરનો કાબુ ગુમાવી દેતા, રોડની સાઈડમાં પાર્ક કરેલ આર્મીની જીપ્સી 20B 134379 K નંબરની સાથે કાર અથડાવતા, જીપ્સી સદ્દામ હુસ્સેન મીડ્ડીયા સાથે અથડાતા, તેને માથાના પાછળના ભાગે લોહિ નિકળતી ગંભીર ઈજા પહોંચી હતી તેમજ કારના ચાલકને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમજ પોતાની સાથેના માણસને નાકમાં લોહિ નિકળતી ઈજા પહોંચી હતી. આ અંગે આર્મી જવાને ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:4 મોટા શહેરના 2800 ચો.કિમીમાં ફેલાયેલા 400 ગામમાં ‘શહેર’ જેવા નિયમો લાગુ થશે

ટિકેન્દ્ર રાવલ સરકાર એવા ગામો માટે નવી નીતિ તૈયાર કરી રહી છે, જે શહેરની હદમાં હોવા છતાં સુવિધાથી વંચિત છે. ચારેય મહાનગરો આસપાસ આશરે 2800 ચો.કિમીમાં આવેલા 400થી વધુ ગામો, પેરી-અર્બન વિસ્તારોને શહેરની જેમ વિકસાવવાશે. સરકારે બનાવેલી 11 સભ્યોની સમિતિની પહેલી બેઠક મળી ચૂકી છે અને ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહ સુધી રિપોર્ટ આપશે. હાલમાં અર્બન ઓથોરિટી ટીપી યોજના બનાવે છે, પરંતુ બાંધકામની મંજૂરી અને વિકાસનું કાર્ય પંચાયત સંભાળે છે. આ ‘ડબલ સિસ્ટમ’ને કારણે અવ્યવસ્થિત બાંધકામ વધી રહ્યું છે અને સરખામણીએ અહીં વિકાસની ગતિ અટકી છે. જમીનની કિંમતોમાં ભારે અસમાનતા છે. શહેરી વિકાસ વિભાગે પરિપત્ર કરી જણાવ્યું છે કે 1976ના ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ એક્ટ ના અનેક નિયમો અહીં લાગુ પડતા નથી. જેથી ગેરકાયદેસર અને અનિયંત્રિત બાંધકામ વધી રહ્યું છે. આ રીતે સમજો... અનિયંત્રિત વિકાસ-ભાવમાં તફાવત 30 ફૂટના રોડ પર 12-12 માળની ઇમારતોશહેરકાંઠા વિસ્તારોમાં ઘણી જગ્યાએ 30–40 ફૂટના રસ્તાઓ પર TP અનુરૂપતા વિના 8-12 માળની ઇમારતો જોવા મળે છે. ન કોઈ નિયમો, ન ફાયર વિભાગની મંજૂરી, ગ્રામ પંચાયતની મંજૂરીથી જ બાંધકામ થઈ જાય છે. એક જ ગલીમાં ઉદ્યોગો અનેે રહેણાંક આવાસ પણઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારો એકબીજા સાથે જોડાઇ ગયા છે. એક જ ગલીમાં આગળ ઘરો અને પાછળ ફેક્ટરી. બાજુમાં ગોદામ અને તેની આગળ પ્લોટ્સ વેચાણ. આ કારણે દુર્ઘટનાની સંભાવના પણ વધી જાય છે. જમીનના ભાવમાં ભારે તફાવત અર્બનની અંદર: આશરે 40,000 પ્રતિ વર્ગમીટરપંચાયત હદ: આશરે 12થી 18,000 પ્રતિ વર્ગમીટર TP સ્કીમ જાહેર, પરંતુ અધૂરી જ્યાં TP લાગુ થવાની ચર્ચા શરૂ થાય છે, તે વિસ્તારમાં જમીનની કિંમત 30 થી 60% સુધી વધી જાય છે. પરંતુ તે વિસ્તાર પંચાયત સીમામાં હોવાથી વિકાસ થતા નથી. પરિણામે ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળે છે. AUDAની આ બાજુ અને પેલી બાજુઅર્બન ટૅગ ધરાવતી જમીન પર બેન્કો સરળતાથી લોન આપે છે, પરંતુ પંચાયત હદની જમીનને ઘણી વખત જોખમભરી માનવામાં આવે છે અને લોન નકારી દેવામાં આવે છે. લોકો મજબૂરીમાં કાચા સોદા કરે છે, અને દરો પણ અનિયંત્રિત રહી જાય છે. જમીનના ભાવો, રોકાણ બદલાશે આ ગામો શહેરને અડીને હોવા છતાં જમીનની કિંમતોમાં 200થી 500 ટકા સુધીનો ફરક છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળતો નથી અનેક પ્રોજેક્ટ અચાનક શરૂ થઈ જાય કે બંધ થઈ જાય છે. રેરા લાગુ થવાથી શું થશે? દરેક પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે. નકશા અને મંજૂરી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે. પ્રોપર્ટી ખરીદનાર સુરક્ષિત રહેશે. પરિણામે રોકાણમાં વૃદ્ધિ થશે અને આ વિસ્તારોમાં જરૂરી સુવિધાઓનો વિકાસ પણ વધશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

BLOને હેરાનગતિ:રોજ નવા કામના પરિપત્રોથી શિક્ષકો હવે ત્રાહિમામ પોકાર્યા

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી બીએલઓની કામગીરી દરમિયાન બીએલઓ અને સુપરવાઈઝર સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આગ્રહ પૂર્વક રજૂઆત સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જુદા જુદા તાલુકામાંથી બીએલઓને હેરાન ગતિ બાબતે શિક્ષકોની ફરિયાદ આવી રહી છે. ગત રોજ અંકલેશ્વર તાલુકાથી ફરિયાદ આવી છે. અધિકારીઓ શિક્ષકોનું અપમાન કરે છે જે બિલકુલ યોગ્ય નથી. શિક્ષકો પોતાનો જ મોબાઈલ વાપરવાનો પોતાનું નેટ વાપરવાનું અને અપશબ્દો સાંભળવાના એ કોઈપણ સંજોગોમાં ચાલવી લેવામાં આવશે નહીં. અલગ અલગ વિભાગ તરફથી દરરોજ નવા પરિપત્રોના જવાબો રોજે રોજ ટપાલો બિન શૈક્ષણિક, ઓનલાઈન કામગીરીનું ભારણથી હવે આ શિક્ષકો ખરેખર થાકી ગયા છે. ત્યારે શિક્ષકો પાસે બીએલઓની કામગીરી કરાવવી જ હોય તો કોઈપણ અધિકારી ધાકધમકી કે દાદાગીરીથી કરાવી શકશે નહીં અન્યથા બીએલઓની કામગીરી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

લેખિત રજૂઆત કર્યાને 15 દિવસ થવા છતાં પરિણામ શૂન્ય:કેલીસણામાં જાહેર રસ્તા પર મકાનનું દબાણ ગ્રામ પંચાયત દૂર કરતી નથી

વિજાપુર તાલુકાના કેલીસણા ગામે જાહેર રસ્તા પર કરાયેલ મકાનનું દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને લેખિત રજૂઆત કર્યાને 15 દિવસ થવા છતાં દૂર કરવામાં અખાડા કરાઇ રહ્યા છે. ગામના પટેલ ગોવિંદભાઈ હરિભાઈએ પંચાયતમાં કરેલી રજૂઅાતમાં જણાવ્યું છે કે, ગામના પટેલ ગણેશભાઈ જોઈતારામ જે મકાનમાં રહે છે, તેમાં તેમણે 10 થી 15 ફૂટ દબાણ કર્યું છે. જાહેર માર્ગમાં પણ દબાણ કર્યું છે. બાજુમાં જૂના ગામથી નવા ગામ જવા માટેના રસ્તામાં દીવાલમાં કોંક્રિટ કરેલું છે અને મકાનના પાછળના ભાગમાં પણ દબાણ કર્યું છે. તેમના મકાનનું ધાબુ પણ જર્જરિત થઈ ગયેલું હોઇ ગમે ત્યારે પડે તેવી જોખમી હાલતમાં છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

મનપાએ 3.25 કરોડના ખર્ચે વાવના પુન:નિર્માણ માટે ટેન્ડર કર્યું:પરાની 72 કોઠાની વાવના પથ્થરમાં ચૂનાથી પ્લાસ્ટર કરી હેરિટેજ લૂક જાળવવામાં આવશે

મહેસાણાના પરા વિસ્તારમાં આવેલી 72 કોઠાની અૈતિહાસિક વાવની ઇંટો જીર્ણ થઇ હોય ત્યાં તેનું મૂળરૂપ જળવાઇ રહે તે રીતે મરામત કરી, વાવ આસપાસની જગ્યાને હેરિટેજ લૂકમાં ડેવલપ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા એજન્સીરાહે કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવાઇ છે અને આગામી તા.25મી પછી એજન્સી ફાઇનલ થઇ શકે છે. બાંધકામ શાખાના સૂત્રોએ કહ્યું કે, પરામાં આવેલી મહેસાણાની ધરોહર સમાન પ્રાચીન વાવની જાળવણી માટેની કામગીરી હાથ ધરાઇ છે. વાવના પથ્થરમાં ચૂનાથી પ્લાસ્ટર કરીને મૂળ સ્થિતિમાં લૂક જાળવવામાં આવશે. આ મરામત થકી વાવનું મજબૂતીકરણ કરાશે. આ સાથે જ આસપાસની જગ્યાને લાઇટિંગ, ગ્રીનરી, ફિટિંગ, વોક-વે, બેઠક સાથે હેરિટેજ લૂકમાં ડેવલપ કરવામાં આવશે. એનજીઓ મારફતે સફાઇના અ.ક વર્ષ બાદ હવે મનપા વિકાસ કરશેનગરપાલિકા વખતે એનજીઓ મારફતે વાવમાં ઝાડી-ઝાંખરાં કાઢીને સફાઇ કરવામાં આવી હતી. આ દરમિયાન, વાવ ફરતે કમ્પાઉન્ડ વોલ કરાઇ છે અને વાવ આગળ પ્રવેશ ગેટ લગાવાયો છે. આ કામગીરીને એકાદ વર્ષ થયા પછી ફરી વાવ ડેવલપની કામગીરી હવે મનપારાહે આગળ વધશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

BLOને હેરાનગતિ:બીએલઓને ફોર્મની વિગત માટે રાત્રે 11 વાગ્યા સુધી ફોન રણકે છે, બીજી તરફ, તંત્ર રોજ 100 ફોર્મની વિગત એપમાં અપલોડ કરવા કહે છે

મતદાર યાદી ખાસ સુધારણાની કામગીરીમાં ગણતરી ફોર્મ વિતરણ અને આ ફોર્મ ભરવામાં મહેસાણા શહેરી વિસ્તારમાં મતદારો અને બીએલઓ બંનેને સમય લાગી રહ્યો છે. આવામાં મતદારો ફોર્મમાં વિગત કેવી રીતે ભરવાની, ઘરમાં બેના ફોર્મ મળ્યા, પુત્રનું કેમ આપ્યું નથી વગેરે વિવિધ મૂંઝવણોમાં બીએલઓને ફોન કરી રહ્યા છે. મહિલા બીએલઓને પણ રાત્રે 11 વાગ્યા સુધી ફોન આવી રહ્યા છે અને મૂંઝવતા સવાલોના જવાબો આપી રહ્યા છે. અઘરી મૂંઝવણો સેક્ટર સુધી પહોંચી રહી છે. આ દરમિયાન, તંત્ર રોજ 100 ફોર્મ બીએલઓ એપમાં અપલોડ કરવા મેસેજથી જણાવી રહ્યું છે. સામાજિક જવાબદારીઓ વચ્ચે શાળા અને રાષ્ટ્રીય કામગીરી અને તેમાં ફોનનો સિલસિલો ચાલુ રહેતાં બીએલઓની થકાવટ વધવા લાગી છે. બીએલઓને આવાં ફોન આવી રહ્યાં છે

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

મધરાતે અકસ્માત સર્જાયો:ઊંઝા હાઈવે પર ટ્રેલર પલટી ગયું

ઊંઝ| ઊંઝા નજીક મક્તુપુર હાઈવે પર બ્રિજ નજીક મધરાતે અકસ્માત સર્જાયો હતો. હરિયાણાથી પશુઆહાર ભરીને ટ્રક બ્રિજની બાજુમાં ધીમે જતાં પાછળથી આવી રહેલ બીજી ટ્રકે ટક્કર મારી દીધી હતી. જેને લઈ આગળની ટ્રક પલટી ખાઇ જવા પામી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે બન્ને વાહનોને નુકસાન થવા પામ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

પાક વળતર:ઊંઝા, વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણાના 2973 ખેડૂતોએ અરજી કરી

ભાસ્કર ન્યૂઝ । ખેરાલુ ઊંઝા, વિસનગર, વડનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકામાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે વળતર આપવાની જાહેરાત કરતાં અત્યાર સુધીમાં 2973 ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. અહીંના મદદનિશ કૃષિ નિયામક હિતેશભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ, સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ખેરાલુ તાલુકાના 402, સતલાસણા તાલુકાના 1108, વડનગર તાલુકાના 436, વિસનગર તાલુકાના 739 અને ઊંઝા તાલુકાના 288 ખેડૂતોએ પાક વળતર મેળવવા ઓનલાઇન અરજી કરી છે. જ્યારે વીસીઈ દ્વારા દરેક ગ્રામ પંચાયત ખાતે કોઈ પણ ખેડૂત વળતર વગર ના રહી જાય એ માટે રાત્રિ દરમિયાન પણ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. 7/12 અને 8અના ઉતારા મેળવવા જઈએ ત્યારે સર્વર એરર આવતી હોવાથી ઉતારા ઝડપી નીકળતા નથી. આ મામલે કૃષિ નિયામકે સંબધિત મામલતદાર કચેરીને પણ ઉતારા કાઢવાની સમસ્યા હલ કરવા અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે ખેડૂતો ખાનગી ઑનલાઇન સેન્ટરથી પણ ઉતારા લાવશે તો સ્વીકારવામાં આવશે. ખેરાલુ શહેરમાં 5 વીસીઈની નિમણૂંકખેરાલુ શહેર પાલિકા સંચાલિત હોવાથી અહીંની ખેતી વિષયક કામગીરી કસ્બા તલાટી સંભાળે છે. પરંતુ કસ્બા કચેરીમાં કોઈ વીસીઈ બેસતા નહીં હોવાથી નગરની હદમાં ખેતરો ધરાવતા ખેડૂતો ઑનલાઇન ફોર્મ ભરવા ધક્કે ચડ્યા હતા. જોકે, કૃષિ અધિકારીની સૂચનાથી ખેરાલુ શહેર માટે અલગ અલગ સ્થાનો પર 5 વીસીઈને યુઝર આઇડી અને પાસવર્ડ જનરેટ કરી કામગીરી સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

વાહનચાલકો થયા પરેશાન:રાધનપુર રોડ સાઈડ ડિવાઈડર લંબાવવા ખાડા કર્યા પછી કામ ઠપ

મહેસાણા શહેરમાં એકબાજુ આઇકોનિક રોડની કામગીરી ચાલી રહી છે, તો બીજી બાજુ ટ્રાફિકની સમસ્યાને નાથવા નીતનવા અખતરા કરવામાં આવી રહ્યા છે. શીરદર્દ બની ગયેલા ટ્રાફિક પોઇન્ટ રાધનપુર ચોકડી રોડ સાઈડ ડિવાઈડર લંબાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાડા કરવામાં આવ્યા પછી કામગીરી સાવ ધીમી ગતિએ ચાલી રહી છે. જેને કારણે લોકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:મહેસાણામાં 1200 મતદારોવાળા 60 બીએલઓને સહાયક મળશે

મહેસાણા શહેરમાં મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ગણતરી ફોર્મ ભરાયા પછી હવે ફોર્મ કલેકશન અને તેને ડિઝિટલાઇઝ કરવા માટે બીએલઓ સાથે 60 સહાયકોની નિયુક્તિના આદેશ સોમવારે રાત્રે પ્રાંત દ્વારા શરૂ કરાયા હતા. પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદે કહ્યું કે, શહેરમાં સૌપ્રથમ જે બુથમાં 1200 કરતાં વધુ મતદારો છે તેવા 60 બુથના દરેક બીએલઓને એક-એક સહાયક આપવામાં આવશે. આ સહાયક બીએલઓને ભરેલા ફોર્મ કલેક્શનની કામગીરીમાં મદદરૂપ બનશે. સહાયકોમાં મધ્યાહન ભોજન યોજના, ફેરપ્રાઇઝ શોપ તેમજ ફીમેલ હેલ્થ વર્કર સહિતના કર્મચારીઓને ફરજમાં મૂકવામાં આવી રહ્યા છે. પ્રયાસ તમામ બુથ વિસ્તારમાં બીએલઓએ સહાયક મળી રહે તેવો રહેશે. આ ઉપરાંત, બીએલઓ પાસે ગણતરી ફોર્મ ભરાઇને આવે પછી તેને મોબાઇલમાં ડિઝિટલાઇઝ વિગતો સાથે કરવાના હોય છે. આ કામગીરી ઝડપથી થાય તે માટે નાયબ મામલતદારો, ક્લાર્ક, રેવન્યુ તલાટી વગેરે 60 કર્મચારીઓને ડિઝિટલાઇઝ કામગીરીમાં લેવાઇ રહ્યા છે. જેથી બીએલઓને સહાયક મળશે અને કામગીરી ઝડપી બનશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:તૂટેલા ડિવાઈડર રિપેર ન કરતાં અને રોડ સેફ્ટી બેઠકમાં ગેરહાજર રહેતાં ટોલ કંપનીને નોટિસ

મહેસાણા-અમદાવાદ હાઈવે પર વાહન ચાલકો દ્વારા અકસ્માતને પગલે 7 જગ્યાએ તોડી પાડવામાં આવેલા ડિવાઈડર રિપેર નહીં કરતાં અને જિલ્લાની રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં વારંવાર ગેરહાજર રહેતાં ટોલ કંપની ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL)ના સીઈઓને જિલ્લા કલેક્ટરે તાજેતરમાં નોટિસ ફટકારી હતી. નોટિસ બાદ પણ કોઈ કામગીરી નહીં કરતાં બીજી નોટિસની તૈયારી કરતાં ટોલ કંપનીના અધિકારી કલેક્ટર સમક્ષ દોડી આવ્યા હતા અને 7 દિવસમાં તમામ રિપેરિંગની કામગીરી પૂરી કરવા મૌખિક ખાતરી આપી હતી. 7 ડિવાઈડર તૂટેલાં છેહોટલ દર્શન પાસે નંદાસણ, લક્ષુરા હોટલ પાસે મંડાલી, બાલિયાસણ પાટિયા, બીપીસીએલ પેટ્રોલ પંપ પાસે દીતાસણ, દીતાસણ પીકઅપ સ્ટેન્ડ, મેવડ અને બોરિયાવી પાટિયા પાસે. ભાસ્કર નોલેજ‎કામમાં વિલંબ થાય તો ‎રૂ.1 લાખ સુધી દંડની ‎જોગવાઈ‎જિલ્લા રોડ સેફ્ટી કમિટી‎દ્વારા કોઈ સૂચના આપવામાં‎આવે અને તે કામગીરીમાં‎બિનજરૂરી વિલંબ થતો હોય‎તેમજ પૂર્ણ ન થતાં હોય તો‎કલેક્ટર દ્વારા કંપનીને રૂ.એક‎લાખનો દંડ આપવાની‎જોગવાઈ રહેલી છે.‎

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

સાત ગામ ક્ષત્રિય સમાજની મળી બેઠક:બહુચરાજી તાલુકા સાત ગામ ક્ષત્રિય સમાજ દ્વારા લગ્નમાં મર્યાદિત દાગીના આપવા, ડીજે પર પ્રતિબંધ મૂકવા તૈયારી

બહુચરાજી તાલુકાના દેલવાડા, ધારપુરા, દેલપુરા, સુજાણપુરા, એંદલા, ડોડીવાડા અને ઇન્દ્રપ સહિત સાત ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાજના ઉજળા ભવિષ્ય માટે સામાજિક પરિવર્તન માટે તૈયારી હાથ ધરી છે. જેના પ્રથમ ચરણમાં દેલવાડા (ખાંટ) ગામે ગંગવા કૂવાની સિકોતર માતાજીના સાનિધ્યમાં રવિવારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા રીતરિવાજોમાં જરૂરી સુધારા માટે વડીલો અને યુવાનો સાથે સમૂહ ચિંતન કરાયું હતું. જેમાં દીકરીની સગાઈ વખતે વર પક્ષે મંગળસૂત્ર અને સાડી જ આપવી, દીકરીને લગ્નમાં મર્યાદિત દાગીના આપવા, કરિયાવરમાં રસોડા સેટ આપવો અને અન્ય રકમની ફીક્સ ડિપોઝિટ કરાવવી, ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો તેમજ લગ્ન અને મરણ પ્રસંગે બિનજરૂરી ખર્ચ નહીં કરવા ચર્ચા કરાઇ હતી. બેઠકમાં તા.21 એપ્રિલ, 2026ના રોજ સાત ગામ સોલંકી સમાજની દીકરીઓના સમૂહ લગ્ન યોજવાનું નક્કી કરાયું હતું. મર્યાદિત જમીનથી ખેતી કરી જીવનનિર્વાહ કરતાં પરિવારો માટે આ બંધારણ આશીર્વાદરૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

ઠગો ઝડપાયા:મંડળીમાં ખોટા દસ્તાવેજો બનાવી 2 કરોડની ઠગાઈ કરનાર ચાર ઝબ્બે

પાટણ સરસ્વતી તાલુકાના કાનોસણ સેવા સહકારી મંડળીમાંથી લોન મેળવવા જમીનના 7/12 તથા 8-A ના ખોટા દસ્તાવેજો તૈયાર કરી બેંક સાથે કુલ 2,47,06,623ની છેતરપિંડી આચરી હોવાનો ગુનો વાગડોદ પોલીસ મથકે નોંધાયો હતો. આ ગુનામાં આરોપીઓ બે વર્ષથી નાસતા ફરતા હતા. વાગડોદ પોલીસે બાતમી આધારે આરોપી 4 શખ્સોને ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં માલસંગજી વિરસંગજી (42), ફતાજી જેટાજી (45), લખાજી ઉર્ફે લાખાજી મંગાજી (33) અને ભાવસંગજી ઉદાજી (42)નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 4:00 am

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા:ઠગબાજોએ 9 કરોડથી વધુની રકમ ખંખેરી, દુબઈના વોટ્સએપ નંબર પર દરરોજનું અપડેટ આપતા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે ઓફિસો પર દોડા પાડી કોલ સેન્ટરના માસ્ટર માઈન્ટ નીતેશ ખવાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે. સુરતમાં જે કોલસેન્ટર ચાલતુ હતું તેના માધ્યમથી લોન લેવા અને નોકરી ઈચ્છુક લોકોના ડેટા મેળવી તેઓને ફોન કરાતો હતો. ત્યારબાદ આરોપીઓ તેના ડોક્યુમેન્ટ મેળવી ACB મેન્ડેટ તૈયાર કરી બેંકમાંથી ટુકડે ટુકડે રકમ ઉપાડી લેતા હતા. આ ટોળકીના અત્યાર સુધીમાં 1200થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ટોળકી દ્વારા 9 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આંકડો વધવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા દુબઈના વોટ્સએપ નંબર પર દરરોજ એક્સેલ સીટ મોકલતા હોવાની વિગતો પણ મળી આવી છે. આરોપીઓ દ્વારા બે પ્રકારના લોકોને નિશાન બનાવવામાં આવતા ભાગ-1: ગરીબ અને મધ્યમવર્ગીય લોન લેનારાઓ સાથેની છેતરપિંડીઆ કૌભાંડનો સૌથી મોટો અને આર્થિક રીતે નુકસાનકારક પાર્ટ ઓનલાઈન લોન લેવા માંગતા લોકો પર કેન્દ્રિત હતો. જેમને તાત્કાલિક પૈસાની જરૂર હતી તેવા લોકોને આરોપીઓએ સરળતાથી લોન આપવાની લાલચ આપીને ફસાવ્યા હતા.ફ્રોડની શરૂઆત એવા લોકોથી થતી હતી જેઓ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પર્સનલ લોન માટે અરજી કરતા હતા. આરોપી નીતેશ ખવાણીની કંપની 'Globelink Tech Services' કે 'Smaex Enterprise' આ અરજદારોનો ડેટા મેળવી લેતી હતી. ત્યારબાદ કોલ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓ જેમને એક ખાસ સ્ક્રિપ્ટ શીખવવામાં આવતી હતી, તે અરજદારોનો સંપર્ક કરતા અને તેમને વિશ્વાસ અપાવતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે. ACH મેન્ડેટ તૈયાર કરી ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉસેડી લેતાલોન મંજૂર થઈ ગયા પછી, પ્રોસેસિંગ માટે પીડિતો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી દસ્તાવેજો મંગાવવામાં આવતા હતા. અહીંથી જ છેતરપિંડી શરૂ થતી હતી.આરોપીઓ આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પીડિતની સહમતી અને જાણકારી વિના જ બેંકમાં ACH ઓટોમેટિક કલિયરિંગ હાઉસ મેન્ડેટ તૈયાર કરતા અને જમા કરાવતા. ACH મેન્ડેટ એ બેંકિંગ પ્રક્રિયા છે, જે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ નિયમિત અંતરાલે ડેબિટ કરવાની પરવાનગી આપે છે. એકવાર આ ACH મેન્ડેટ તૈયાર થઈ ગયા પછી આરોપીઓ પીડિતના ખાતામાંથી 3,170 થી લઈને 25,000 સુધીની રકમ (લોનની પ્રોસેસિંગ ફી, વીમા ફી વગેરેના નામે) એક જ ઝાટકે ખેંચી લેતા હતા. પીડિતોને આ રકમ કપાયા બાદ ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. કોઈકના 10 હજાર ગયા તો કોઈકના 39 હજાર ગયાઉમેશ શિંદે નામના એક પીડિતે ઈમેલ કરીને ફરિયાદ કરી હતી કે, તેણે કોઈ લોન લીધી ન હોવા છતાં તેના ખાતામાંથી 99, 3000, 5000 અને 11000 એમ જુદી જુદી રકમ કંપનીના નામે કાપી લેવામાં આવી છે. આ દર્શાવે છે કે નાનામાં નાની રકમ કાપીને પણ આરોપીઓ મોટી કમાણી કરતા હતા. જય વ્યાસ નામના અન્ય એક પીડિતના ખાતામાંથી તો 39,000 જેટલી મોટી રકમની કપાત થઈ હતી. લવ કુમાર નામના પીડિતે ફરિયાદ કરી કે ICICI બેંકના તેના ખાતામાંથી ACH Mandateના નામે 3,000, 4,000, 5000 અને 2000 મળીને ચાર વખત નાણાં કપાયા હતા. આ તમામ ઈમેલ director@globelinktechservices.com થી officernodalofficial@gmail.com પર ફોરવર્ડ કરાયેલા મળ્યા હતા. લોનની જરૂરિયાત ધરાવતા આ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોએ લોન તો ન મેળવી, પરંતુ તેમની પાસે જે થોડીઘણી બચત હતી તે પણ આ ઠગબાજોએ ACH મેન્ડેટના દુરુપયોગ દ્વારા હડપી લીધી. અત્યાર સુધીમાં 1,187 ACH/NACH ટ્રાન્ઝેક્શન્સ દ્વારા કુલ 9.92 કરોડની રકમની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ભાગ-2: બેરોજગાર યુવાનોને નિશાન બનાવતી 'વર્ક ફ્રોમ હોમ' જોબ સ્કેમબીજા કૌભાંડમાં આ રેકેટે ખાસ કરીને નોકરીની શોધમાં રહેલા યુવાનોને નિશાન બનાવ્યા હતા, જેઓ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા.આરોપીઓ 'Work India' જેવી વેબસાઇટ્સ પરથી નોકરી શોધતા ઉમેદવારોનો ડેટા મેળવતા.ઉમેદવારોને 'Bytesolver Pvt Ltd' નામની કંપનીમાં વર્ક ફ્રોમ હોમ જોબની આકર્ષક ઓફર આપવામાં આવતી, જેના માટે 10,000 + GST ફી નક્કી કરવામાં આવતી.નોકરીની લાલચ આપીને તેમની પાસેથી આ ફી માટે ડિજિટલ સર્વિસ કોન્ટ્રાક્ટ પર સહી કરાવી લેવામાં આવતી હતી. લીગલ નોટિસ દ્વારા ડરાવીને વસૂલી કરતાફી લીધા પછી, દસ દિવસના સમયગાળા બાદ, પીડિતોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવતી કે, તેમનો કોન્ટ્રાક્ટ અમુક કારણોસર રદ કરવામાં આવ્યો છે. અહીંથી ધમકી શરૂ થતી હતી. આરોપીઓ વકીલ અયાઝ એલ. ટીમ ના માધ્યમથી પીડિતોને કાયદાકીય નોટિસ મોકલતા હતા. આ નોટિસમાં કાયદાકીય કાર્યવાહીની ધમકી આપીને, કોન્ટ્રાક્ટના ભંગ બદલ દંડ તરીકે 10,000 સુધીની રકમની વસૂલી કરવામાં આવતી હતી. પોલીસે ઓફિસમાંથી 45 જેટલી આવી કાયદાકીય નોટિસની નકલો જપ્ત કરી છે. બેરોજગારી અને કાયદાકીય કાર્યવાહીના ડર હેઠળ, અનેક યુવાનોએ ન છૂટકે આ ગેરકાયદેસર રકમ ચૂકવી દીધી હતી. આમ, આ ઠગબાજોએ નોકરીની શોધમાં નીકળેલા યુવાનોની આશાને પણ લૂંટી લીધી હતી. કૌભાંડનું આંતરરાજ્ય નેટવર્કનીતેશ ખવાણી આ સમગ્ર ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ હતો, જે પોતે ડિજિટલ માર્કેટિંગનો નિષ્ણાત હોવાનું જણાવતો હતો. તેના ગુનાહિત રેકોર્ડમાં અમદાવાદ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ લોન અને ડિજિટલ પેમેન્ટ ફ્રોડના કેસ નોંધાયેલા છે.કોલ સેન્ટર મેનેજર મોહમ્મદ જાવેદ નાસીરવાલા અને અન્ય 8 કર્મચારીઓ આ કૌભાંડમાં સક્રિય હતા. તેઓ સ્ક્રિપ્ટના આધારે પીડિતોને ફોન કરતા અને રિકવરી ટીમના સભ્યો કાયદાકીય નોટિસ દ્વારા ડરાવતા. રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલાનીતેશના ફોનમાંથી મળેલા પુરાવા દર્શાવે છે કે આ રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલા હતા. એક વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ દુબઈના નંબર પરથી લોગિન હતું, અને 'Daily Reporting Group' માં દરરોજ કલેક્શનની એક્સેલ શીટ્સ મોકલાતી હતી. આ દર્શાવે છે કે આ એક અત્યંત સંગઠિત અને વ્યવસ્થિત આંતરરાજ્ય ગુનાહિત સિન્ડિકેટ હતું.ઈમેલ દ્વારા મળેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પરમાર અને પીએસઆઈ ડી.વી. ગામિત સહિતની 16 સભ્યોની ટીમ દ્વારા 15 નવેમ્બર, 2025ના રોજ ડુમસ રોડ અને પાલનપુર સ્થિત બે ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા. સ્વસ્તિક યુનિવર્સલ બિલ્ડિંગની ઓફિસ નં. 306 જ્યાં 'Smaex Enterprise Pvt Ltd' અને 'Adv. Ayaz I Timol' ના બોર્ડ લાગેલા હતા, ત્યાંથી નીતેશ ખવાણીને ઝડપી લેવાયો હતો. આ કૌભાંડ દેશ માટે ચેતવણીરૂપ છે- બિશાખા જૈનસાયબર સેલના ડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે, પોલીસે ઘટનાસ્થળ પરથી તમામ મહત્ત્વના દસ્તાવેજો, હાર્ડવેર અને ACH મેન્ડેટના રેકોર્ડ જપ્ત કરીને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી, 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ક્રાઇમની આ સરાહનીય કામગીરીથી 1,222થી વધુ પીડિતોને ન્યાય મળવાની આશા જાગી છે. આ કૌભાંડ સુરત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ચેતવણીરૂપ છે કે ઓનલાઈન લોન અને જોબ ઓફરના નામે થતી છેતરપિંડીમાં કેવી રીતે બેંકિંગ પ્રક્રિયાઓનો પણ દુરુપયોગ કરવામાં આવે છે. આ સમાચાર પણ વાંચોઃપાકિસ્તાની એજન્ટો દુબઈ-વિયેતનામની ટિકિટ કરાવે, ત્યાં ચીની ગેંગ પાસપોર્ટ-મોબાઈલ જપ્ત કરી બળજબરીથી સાયબર ફ્રોડ કરાવતા ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ-વિદેશમાં યુવક-યુવતીઓને નોકરીના નામે છેતરતાં હતાં. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:05 am

ભાવનગરમાં દંપતી પર હુમલો, સુરતમાં પાટીદારો ફરી આકરા પાણીએ:મોડી રાત્રે અલ્પેશ કથીરિયા સહિતના આગેવાની બેઠક, કહ્યું- સમાજની આબરૂનો સવાલ છે

સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે, ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો. વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર ઘટના?ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વેળાએ તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી. જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપી હોવા છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી. આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઇ ગમારા, માતર રામાભાઇ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમારા, રતાભાઈ ઇન્દુભાઇ ગમારાનો મોટો દીકરો, વિરમભાઈ ખેંગાભાઇ ગમારાનો નાનો દીકરો, બધાએ એક સંપ થઈ તો ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ઘણ વડે દીવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાટીદાર અગ્રણીઓને બઠેકતારીખ: 17 નવેમ્બર 2025 ને સોમવારે સાંજે 8:30 કલાકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ (સારથી એવન્યુ, L.P. સવાણી સ્કૂલ પાસે) ખાતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 'આપણા આખા સમાજની આબરૂ અને સુરક્ષાનો સવાલ છે'આ ઘટના ફક્ત એક પરિવારની નથી, આપણા આખા સમાજની આબરૂ અને સુરક્ષાનો સવાલ છે. જમીન હડપવા, ઘરમાં ઘૂસીને માર મારવો, વૃદ્ધ માતાને મારી નાખવાની ધમકી આપવી. આવા અસામાજિક તત્વો સામે ચૂપ રહેવું એ આપણા સમાજ માટે અને ગામડામાં રહેતા દરેક સમાજના લોકો માટે ખતરો છે. આજે જે પાટીદાર યુવાન સુરતમાં છે, ખાસ કરીને મોટા વરાછા, કામરેજ, કાપોદ્રા, વરાછા, અમરોલી, પુણા, સરથાણા, અડાજણ, વેસુ, કતારગામ વિસ્તારના બધા ભાઈઓ અને વડીલો હાજર રહ્યા હતા. પ્લોટ પટાવી પાડવા ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલોપાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થયો છે. એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે એ અસામાજિક તત્ત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારા માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે અને જો તું જમીન નહીં આપે તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ. 'પત્નીને ગળું દબાવી અને બે લાફા પણ માર્યા હતા'આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળું દબાવી અને બે લાફા પણ મારવામાં આવે છે. ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો. 'પોલીસ તંત્ર મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે'ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે. પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે, ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મીટિંગ યોજી છે અને એ મીટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા. 'અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ'પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે, ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય, કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય, ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વૈમનસ્યતા ઊભી કરવાનું અને ઝેર જે ઉકસાવવાનું કામ કરતા હોય, જે ઝેર ભરવાનું કામ કરતા હોય, એ લોકોને ડામીને અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:05 am

ગુજરાત બાદ રાજકીય પાર્ટીઓના ફંડિંગની દેશભરમાં તપાસ શરૂ થવાની સંભાવના:બિલ્ડરને ત્યાં ચાલતા દરોડામાં દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળી

ટેક્સ બચાવવા લોકો દ્વારા ચોક્કસ પાર્ટીઓને ડોનેશન આપી પાર્ટી પાસેથી કમિશન બાદની રકમ પર મેળવી રહ્યા હોવાની હકીકતના પગલે આયકર વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને ગાંધીનગરની 25 પ્રિમાઇસીસ સહિત ગુજરાતભરમાં 32 પ્રિમાઇસીસ પર દરોડા પાડીને કામગીરી શરૂ કરી હતી. જે પૈકી મોટા ભાગની પ્રિમાઇસીસમાં દરોડા બાદ નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ બિલ્ડરની જુદી જુદી પ્રિમાઇસીસ પરના દરોડામાં ડિપાર્ટમેન્ટને ઘણી વિગતો મળી છે. ગુજરાતમાં દરોડા બાદ હવે ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભરમાં રાજકીય પાર્ટીઓ પર દરોડા પડે તેવી સંભાવનાને લઇને સંચાલકો દોડતા થઇ ગયા છે. રાજકીય પાર્ટીઓની ઓફિસોની વિગતો એકત્રિત કરાઈશહેરના પોશ વિસ્તાર ઉપરાંત કોટ વિસ્તારમાં અને પોળો તથા શેરીઓમાં ચાલતી રાજકીય પાર્ટીઓની ઓફિસોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં જે પાર્ટીઓની ઓફિસોમાં ઇનકમ ટેક્સની તપાસ ચાલી રહી છે. તે ઉપરાંત ઘણી પ્રિમાઇસીસન વિગતો ડિપાર્ટમેન્ટ પાસે નહિ હોવાથી તેની હાલ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. બિલ્ડરને ત્યાં દરોડામાં દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળીબીજી તરફ અમદાવાદના બિલ્ડરને ત્યાં ચાલી રહેલા દરોડામાં પણ ઘણા દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળી છે. હવે બિલ્ડર સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે. આયકર વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાષ્ટ્રવ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:57 pm

સુરતમાં 24 કલાકમાં ત્રણ હત્યા:રાંદેર, લિંબાયત બાદ પુણામાં ખુની ખેલ ખેલાયો, રૂ.19 હજાર માટે યુવકે જ મિત્રને ટાઈલ્સના ઘા મારી પતાવી દીધો

સુરતમાં હત્યાનો સિલસિલો એક બાદ એક ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગતરોજ રાત્રે રાંદેર વિસ્તારમાં હત્યા થઈ હતી. ત્યારબાદ આજે બપોરે લિંબાયતમાં હત્યાનો બનાવ બન્યો હતો. જ્યારે હવે પુણા વિસ્તારમાં 19 હજાર રૂપિયા માટે મિત્રે મિત્રને માથામાં ટાઇલ્સના ઘા મારી પતાવી દીધો હતો. હાલ તો પુણા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતોમળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પુણા વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં 30 વર્ષીય લાલુ મિથિલેશ યાદવ રહેતો હતો. ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લાલુ વતનની નજીકના ગામમાં રહેતા 20 વર્ષીય વિકી મનોજકુમાર યાદવનો મિત્ર હતો. બંને મિત્રો સાથે હરતા ફરતા રહેતા હતા. ગઈકાલે રાત્રે પણ બંને સાથે સિગારેટ પીવા માટે ગયા હતા. વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા મારી દીધાસિગરેટ પીને પરત ફરતા સમયે બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલા વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા મારી દીધા હતા. ત્યારબાદ લાલુને લોહી લુહાર હાલતમાં મિત્ર જ મિત્રને લઈને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચી ગયો હતો. ત્યારબાદ તેની હાલત ગંભીર હતી અને પોલીસને મિત્ર પર જ શંકા ગઈ હતી. દરમિયાન લાલુનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી મિત્રને ઝડપી પાડ્યોપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, વિકીએ મૃતક લાલુને 19,000 રૂપિયા આપ્યા હતા. જે વિકી પરત માગી રહ્યો હતો પણ મૃતક લાલુ રૂપિયા આપવા માટે આનાકાની કરી રહ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને ઊંચકે રાઈ ગયેલા વિકીએ લાલુને ટાઇલ્સના ઘા મારીને પતાવી દીધો હતો. હાલ તો આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધી પુણા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:21 pm

ગોધરાના મોટી કાંટળીમાં લકુલીશ યોગાશ્રમનું ભૂમિપૂજન:સનાતન સંસ્કૃતિના પ્રસાર અને સેવા કાર્યો માટે આયોજન

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાંટળી ગામે લકુલીશ યોગાશ્રમ પંચમહાલ દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. સનાતન સંસ્કૃતિના પ્રસાર અને સેવા કાર્યોના ઉદ્દેશ્ય સાથે આ આશ્રમનું નિર્માણ કરવામાં આવશે. સંસ્થાના સ્થાપક પૂજ્ય પ્રિતમ મુનિજીના સાન્નિધ્યમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ નવનિર્મિત આશ્રમમાં ભગવાન શિવના અવતાર લકુલીશજીના સંકલ્પને સાકાર કરવાના ભાવિ આયોજનોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમાં બાળકોમાં સંસ્કાર સિંચન માટે હિન્દુ ગુરુકુળ, ગૌસેવા માટે ગૌશાળા, યોગ પ્રશિક્ષણ, અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય સુવિધાઓ જેવા અનેક સેવાકીય પ્રકલ્પો શરૂ કરાશે. આ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ અને જીવદયાનું જતન કરવાનો હેતુ છે. આ પ્રસંગે આશીર્વચન આપતા પૂજ્ય પ્રિતમ મુનિજીએ યુવા પેઢી પર વધી રહેલા પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે યુવાનોને આધુનિકતાની આંધળી દોટ મૂકવાને બદલે સાચી શાંતિ અને માર્ગદર્શન માટે ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઋષિમુનિઓએ ચીંધેલા માર્ગે ચાલવા હાકલ કરી હતી. આ ધાર્મિક અને સેવાકીય પ્રસંગે ગીતા પાઠ મંડળ ગોધરાના મહેન્દ્ર ઉપાધ્યાય, જિલ્લા સહકારી સંઘના રયજીભાઈ પરમાર, રંજનબેન રાઠોડ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના હિતેન્દ્રસિંહ રાઉલજી તેમજ સંસ્થાના ખજાનચી પ્રફુલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો અને દાતાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉદાર મને દાન આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:13 pm

ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો:લોકલ ક્રાઈમ બ્રાન્ચે 12 લાખની દોરી 2700 રીલ સાથે એક શખસને ઝડપી પાડ્યો

વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાઈનીઝ (પ્લાસ્ટિકની માંજા) દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. 17 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આ કાર્યવાહીમાં એક શખસને ઝડપી સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચન પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સિસોદીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે ભૂતની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીન આધારે એક ટેમ્પોમાં ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ભરીને સમીયાલાથી સાવલી તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે કરચીયા ગામની સીમમાં ઔરા લાઈફકેર કંપની સામેના રોડ પર નાકાબંધી કરી વાહનને રોક્યું હતું. ચેકિંગ દરમિયાન ટેમ્પામાંથી પ્લાસ્ટિકની ચાઈનીઝ માંજાના 2700 રીલ (બોબીન) મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.12,06,000 તથા ટેમ્પાની કિંમત રૂ. 5,00,000 મળીને કુલ રૂ.17,06,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં આરોપી બાદરૂ બાબુભાઈ મેડા (ઉં.વ. 35, રહે. ખાનાપરા, પોસ્ટ મોકમપરા, તા. કુશલગઢ, જિ. બાંસવાડા, રાજસ્થાન)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:12 pm

વેરાવળમાં દારૂ-ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણનો આક્ષેપ:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ SPને પત્ર લખી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા

વેરાવળ-ભીડીયા-પાટણ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદોને પગલે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. ધારાસભ્યના પત્ર મુજબ, આ વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થાય છે અને દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે બુટલેગરો પોલીસની રહેમનજર હેઠળ બેફામ રીતે દારૂ સપ્લાય કરે છે. દીવ કરતાં પણ સસ્તો અને વધુ પ્રમાણમાં વિદેશી દારૂ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ડ્રગ્સ, ક્રિકેટ સટ્ટાબાજી, જુગાર અને યંત્રગેમ જેવા અસામાજિક ધંધાઓ પણ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, જેના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે વેરાવળ-ભીડીયા-પાટણ પોલીસની હદમાં કાર્યવાહીનો સંપૂર્ણ અભાવ છે. લોકોને અનેક મૌખિક ફરિયાદો હોવા છતાં પોલીસ કોઈ પગલાં લેતી નથી. તેમણે ઉમેર્યું કે ઉચ્ચ અધિકારીઓને અગાઉ જાણ કરવા છતાં માત્ર થોડા દિવસો માટે દેખાડા પૂરતી કાર્યવાહી થાય છે અને પછી પરિસ્થિતિ યથાવત રહે છે. માત્ર કાગળ પરની કાર્યવાહીથી લોકોને ગુમરાહ કરવામાં આવે છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો બુટલેગરો સામે તાત્કાલિક રેડ કરીને FIR નોંધવામાં નહીં આવે, તો તેઓ લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને 'જનતા રેડ' કરશે અને ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત પણ કરશે. વેરાવળ-ભીડીયા-પાટણ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ધારાસભ્યની આ ચેતવણી બાદ સ્થાનિક પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર આ ગંભીર આક્ષેપો અને વધતા દબાણનો કેવી રીતે સામનો કરે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:10 pm

હાઈકોર્ટે કહ્યું વધુ 6 મહિના ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડશે:વિધાર્થિની દ્વારા પ્રક્રિયાગત ભૂલને કારણે તેનો પ્રવેશ રદ થયો હતો, MBBS કોર્સમાં પ્રવેશ આપવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાત હાઈકોર્ટએ સોમવારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ આ ACPCને નિર્દેશ આપ્યો હતો કે એક વિધાર્થિનીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના MBBS કોર્સમાં પ્રવેશ આપવામાં આવે. આ નિર્ણય વિધાર્થિનીએ ડોક્ટર બન્યા બાદ ફરજિયાત એક વર્ષની ગ્રામ્ય સેવાને ઉપરાંત વધારાના છ મહિના સેવા આપવા સંમતિ આપ્યા બાદ લેવામાં આવ્યો હતો. વિધાર્થિનીએ અમદાવાદની મેડિકલ કોલેજમાં ત્રીજા રાઉન્ડમાં પણ પ્રથમ વર્ષનો પ્રવેશ કન્ફર્મ ન કરવાનું બેદરકારીપૂર્ણ વર્તન કર્યું હતું. હાઇકોર્ટે ગયા અઠવાડિયે ACPCને તેના માટે એક સીટ ખાલી રાખવાનો આદેશ આપ્યો. વિદ્યાર્થિનીએ 6 મહિના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા સંમતિ દર્શાવીવિદ્યાર્થીનીએ જણાવ્યું કે, કોલેજ સ્ટાફે આપેલી ખોટી સલાહને કારણે તે પ્રવેશ કન્ફર્મ કરવા જરૂરી દસ્તાવેજો હેલ્પ સેન્ટર પર જમા કરી શકી નહોતી. નહીતર, તેણીએ ફી પણ ભરી હતી અને લેકચરોમાં હાજરી આપવાનું શરૂ કરી દીધું હતું. ACPC અને કોલેજે તેના હુકમનો વિરોધ કર્યો અને દલીલ કરી કે વિદ્યાર્થિની પોતાની બેદરકારી અને ગફલતના કારણે જ મુશ્કેલીમાં આવી છે. જ્યારે વિદ્યાર્થિનીએ પોતાની ભૂલ માટે વળતરરૂપે MBBSનો કોર્સ પૂર્ણ થયા બાદ વધારાના 6 મહિના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા સંમતિ દર્શાવી હતી. ભવિષ્યમાં આવી ભૂલ ના થાય તે માટે રૂ. 5 હજારનો દંડ ફયકાર્યોત્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે, જો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લાયકાત ધરાવતા મેડિકલ ડોક્ટરની વધારાની 6 મહિનાની સેવા મળશે. 5 હજારનો દંડ કરીને, આ પ્રક્રિયાગત ખામી, જેના સંપૂર્ણપણે વિધાર્થીની જવાબદાર છે, તે કોર્ટ દ્વારા દૂર કરશે. હાઇકોર્ટે તેના પ્રથમ વર્ષના MBBSમાં પ્રવેશને નિયમિત કરવાની દિશામાં આદેશ આપ્યો છે એ શરતે કે તે વધારાની 6 મહિનાની ગ્રામ્ય સેવા અંગેની બાહેંધરી તે આપશે. બાદમાં તરત જ પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર જમા કરીને પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે. હાઇકોર્ટ દ્વારા ભવિષ્યમાં વિધાર્થીની દ્વારા આવી ગફલત ફરી ન થાય તે માટે ઉદાહરણ રૂપિયા 5 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:10 pm

GUDA દ્વારા AWS–2 આવાસ ફાળવણીમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ:SC કેટેગરીનું પ્રધાનમંત્રી આવાસ OBCને ફાળવી દીધું, વેઇટિંગ લિસ્ટમાં 33મા ક્રમના ભાવેશ સોલંકીની CM સુધી રજૂઆત

ગાંધીનગરના ઈન્દિરાનગર (સેક્ટર-24)માં રહેતા ભાવેશકુમાર કાન્તીભાઈ સોલંકીએ ગુડા (ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ) પર ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે મુખ્યમંત્રીથી લઈને શહેરી વિકાસ વિભાગ સુધી રજુઆત કરી છે. તેમની ફરિયાદ મુજબ અનુસૂચિત જાતિના વેઇટિંગ લિસ્ટ મુજબ તેમને મળવાનું રહેલું AWS–2 પ્રકારનું પ્રધાનમંત્રી આવાસ (સરગાસણ ટી.પી.-07, એફ.પી.-186, હાઉસ નં.–C/712) ગુડાએ ભૂલથી ઓબીસી કેટેગરીના વ્યક્તિને ફાળવી દીધું છે અને તે વ્યક્તિ ગયા બે વર્ષથી ત્યાં વસવાટ કરી રહ્યા છે. વેઇટિંગ લિસ્ટમાં ક્રમાંક 33 તમામ કચેરી પ્રક્રિયા પૂર્ણ અરજદાર સોલંકીના જણાવ્યા મુજબ, વર્ષ 2021માં તેમના પિતાના નામે એડબ્લ્યુએસ–2 યોજના માટે અરજી કરવામાં આવી હતી. 2022માં થયેલા ઓનલાઈન ડ્રોમાં તેઓ વેઇટિંગ લિસ્ટમાં ક્રમાંક 33 પર આવ્યા હતા. ગુડાએ માર્ચ-2025માં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવ્યા બાદ તેમને C-712 આવાસ ફાળવાતું હોવાની સત્તાવાર ચીઠ્ઠી પાઠવી હતી. ત્યારબાદ મે-2025માં તેમને પેમેન્ટ શિડ્યુલ આપવામાં આવ્યું અને અરજદાર દ્વારા જુલાઈ અને ઑગસ્ટ-2025માં કુલ ₹1,12,500ની રકમ બે હપ્તામાં જમા કરવામાં આવી હતી. પછી સપ્ટેમ્બર-2025માં સત્તાવાર ફાળવણી પત્ર (અલોટમેન્ટ લેટર) પણ અપાયું હતું. બેંક લોનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એગ્રીમેન્ટ, NOC અને ડિમાન્ડ લેટર માટે 11 નવેમ્બરે ગુડામાં અરજી પણ જમા કરાઈ હતી. જે મકાન અમને ફાળવ્યું છે તેમાં પહેલેથી જ પરિવાર રહે છેઅરજદારનું કહેવું છે કે જ્યારે તેઓ ફાળવવામાં આવેલા આવાસની ફિઝિકલ ચકાસણી કરવા ગયા ત્યારે ત્યાં એક પરિવાર રહેતો જોવા મળ્યો. પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તેઓને પણ ગુડાથી જ ફાળવણી મળી છે અને બેંક લોન પણ ચાલુ છે. સોલંકીના જણાવ્યા મુજબ, આવાસ પહેલાં પાટકર કમળાબેનને SC કેટેગરી હેઠળ ફાળવવામાં આવ્યું હતું પરંતુ જાતિ સર્ટિફિકેટ ન હોવાથી 28 જૂન 2025ના રોજ ફાળવણી રદ કરી દેવામાં આવી. ત્યારબાદ તે જ SC કેટેગરીના મકાનને ભૂલથી ઓબીસી કેટેગરીના લાભાર્થી રબારી કાનજીભાઈને ફાળવી દેવામાં આવ્યું. “કચેરીની ભૂલ છે, એક અઠવાડિયામાં બીજું મકાન આપીશું” – ફરજ પરના અધિકારીઅરજદાર જ્યારે 13 નવેમ્બરે ગુડાની કચેરીએ રૂબરૂ રજૂઆત કરવા ગયા, ત્યારે ફરજ પરના અધિકારીએ આ બાબતને “કચેરીની ભૂલ” ગણાવી અને એક અઠવાડિયામાં બીજું મકાન ફાળવવાનું આશ્વાસન આપ્યું હોવાનું અરજદારનું કહેવું છે. “SC કેટેગરીના મકાનમાં OBC ને ફાળવણી શા માટે?” અરજદાર સોલંકીનો મુખ્ય આક્ષેપ છે કે SC કેટેગરીમાં આવેલ મકાન રદ થાય તો SC વેઇટિંગ લિસ્ટમાંથી જ આગામી અરજદારને ફાળવણી થવી જોઇએ, છતાં ગુડાએ નિયમોને અવગણીને ઓબીસી કેટેગરીના વ્યક્તિને મકાન ફાળવી દીધું છે. સોલંકી કહે છે કે, “આ બેદરકારીને કારણે SC કેટેગરીના ઘણા લાભાર્થીઓને તેમના હકના મકાનથી વંચિત થવું પડે છે. અમારી સાથે જાહેર રીતે અન્યાય થયો છે.” મુખ્યમંત્રી, મંત્રી અને અગ્રસચિવને નકલ સાથે લેખિત ફરિયાદઅરજદારે તેમની વિગતવાર ફરિયાદની નકલ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને અગ્રસચિવ સહિત અનેક અધિકારીઓને રવાના કરી છે અને યોગ્ય તપાસ સાથે તેમને મૂળ ફાળવાયેલ C-712 મકાન તાત્કાલિક ફાળવવાની વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:04 pm

વિદેશી પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે:GIFT સિટી પછી સુરત ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રણોત્સવમાં પણ મળશે લીકર પરમિટ, પ્રવાસન ઉદ્યોગને થઈ શકે ફાયદો

ગુજરાતને વૈશ્વિક રોકાણ, બિઝનેસ અને પ્રવાસન માટે વધુ આકર્ષક બનાવવા રાજ્ય સરકાર દારૂ પરમિટ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકે છે. GIFT સિટીમાં વિદેશી મહેમાનો અને બિઝનેસ ડેલિગેટ્સને લીકર પરમિટ મળ્યા બાદ સરકાર હવે સુરત ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઑફ યુનિટી અને કચ્છના રણોત્સવમાં પણ નિયંત્રિત પરમિટ મળવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સાથે-સાથે સરકાર દ્વારા તૈયાર કરાયેલી લીકર પરમિટની મોબાઇલ એપ્લિકેશનનું ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે એપ ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે. જે પછી સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થઈ જશે. સરકાર હવે ત્રણ સ્થળે નિયંત્રિત છૂટછાટ આપવા વિચારી રહી છેGIFT Cityમાં Wine Dine ઝોન અને FL-III લાઇસન્સ ધરાવતા હોટલ/ક્લબોમાં દારૂ પીવાની પરવાનગી અપાતા રાજ્ય સરકારને ₹94 લાખથી વધુની આવક થઈ. ગીફ્ટ સિટી બાદ સરકાર હવે ત્રણ સ્થળે નિયંત્રિત છૂટછાટ આપવા વિચારી રહી છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યો છે. દુનિયાભરના વેપારીઓ, રોકાણકારો અને ટ્રેડર્સ અહીં સતત મુલાકાત લે છે. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુજબની સુવિધાઓ આપતી વખતે “કન્ટ્રોલ્ડ લીકર પરમીટ” એક મહત્વનો ભાગ બની શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છેવિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યું બન્યા બાદ SOU પર વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ આવે છે જેમાં વિદેશીઓનું પ્રમાણ પણ વધતું રહ્યું છે. વિદેશી પ્રવાસીઓને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી તેઓનું સ્ટે લાંબું રહે છે, જેનાથી સ્થાનિક હોટલ, રેસ્ટોરન્ટ, વાહન વ્યવહાર અને રાજ્યના અર્થતંત્રને સીધો ફાયદો થઈ શકે છે. રણોત્સવ દર વર્ષે હજારો વિદેશી મહેમાનોને આકર્ષે છેવિદેશી પ્રવાસીઓ અહીં કેટલાંક દિવસો રોકાય છે અને તેઓ માટે ફૂડ–હોસ્પિટાલિટી સુવિધાઓ સાથે “લિમિટેડ લીકર પરમીટ”નો નિર્ણય પ્રવાસન ક્ષેત્રને વધારવા લઈ શકાય છે. સરકારે લીકર પરમીટ માટેની ઑનલાઇન મોબાઇલ એપનું ટ્રાયલ પૂર્ણ કરી દીધું છે, એપ ટૂંક સમયમાં લોન્ચ થશે. પ્રાથમિક તબક્કામાં ગીફ્ટ સિટી, ત્યારબાદ SOU–સુરત–રણોત્સવ જેવા સ્થળો માટે એપ દ્વારા ટૂરિસ્ટ પરમીટ આપવામાં આવી શકે છે. ગુજરાતમાં દારૂ પ્રતિબંધ યથાવત રહેશે પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને બિઝનેસ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને સીમિત અને નિયંત્રિત પરમીટ ઝોન બનાવવાની ચર્ચા સરકારનું આગામી પ્રવાસન વિઝન બની શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:00 pm