શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ તોડવાની કાર્યવાહી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવાને લઈને ટીવી ગતિએ ચાલતી કામગીરી મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ હાટકેશ્વર બ્રિજના બંને બાકી રહેલા છેલ્લા સ્પાન તોડવા માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 4 એપ્રિલ, 2026 સુધી અથવા તો બ્રિજ ડિમોલિશનની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી દિવસ અને રાત્રિ દરમિયાન ગુરુજી બ્રિજથી અમરાઈવાડી અને અમરાઈવાડીથી ગુરુજી બ્રિજ તરફ જવા અન્ય વૈકલ્પિક રસ્તાનો અવરજવર કરવા માટે ઉપયોગ કરવાનો રહેશે. વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર ડાયવર્ઝન આપવામાં આવ્યું હાટકેશ્વર બ્રિજના ડિમોલિશનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. બ્રિજના બંને છેડેથી વચ્ચેના ભાગ સુધી ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે પરંતુ, બેસ પાન તોડવા માટે ખૂબ જ ટ્રાફિક હોવાના કારણે તેને બંધ કરવાની જરૂરિયાત હોવાથી તેમજ આસપાસના વિસ્તારોમાં કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને બ્રિજ તોડવામાં આવી રહ્યો છે. ડિમોલિશનની કામગીરી સરળતાથી હાથ ધરી શકાય તેમજ કોઈ દુર્ઘટના ન સર્જાય અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે વાહનચાલકો મણીનગરના ગુરૂજી બ્રિજ તરફથી આવતા હાટકેશ્વર બ્રિજના એક ઓબ્લીગેટરી (મુખ્ય)સ્પાનની પાસેના કે.સી ટી સ્ટોલ બાજુના સ્પાન નીચેથી પસાર થઈ અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા તરફ જવાનુ રહેશે. જ્યારે અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા તરફથી આવતા ટ્રાફિકે બ્રિજના ઓબ્લીગેટરી (મુખ્ય)સ્પાનની પાસેના બાજુના ભાગમાં તોડવામાં આવેલા સ્પાનની ખુલ્લી જગ્યા પાસેથી પસાર થઈ ગુરૂજી બ્રિજ તરફ જવાનુ રહેશે. ટ્રાફિક ડાયવર્ઝન પાસે પોલીસના જવાનો સતત હાજર રાખવા પડે એવી સ્થિતિ હાટકેશ્વર બ્રિજના ઓબ્લીગેટરી (મુખ્ય)સ્પાન તથા તેની પાસેના બાકી રહેલા એક સ્પાનના ડિમોલિશનની કામગીરી તબકકાવાર કરવાની થતી હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન રૂટ મુજબ ઓબ્લીગેટરી સ્પાનની ડિમોલીશનની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિક પોલીસ ચોકી સામેના સ્પાનના ડિમોલિશન દરમિયાન તેની આસપાસની ડિમોલિશ્ડ થયેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ડાયવર્ઝન રૂટ તરીકે વાહનચાલકોએ ઉપયોગ કરવાનો રહેશે. ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે હાટકેશ્વર ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસના જવાનો સતત હાજર રાખવા પડે એવી સ્થિતિ છે.
નેશનલ હાઈ-વે નંબર 48 પર વડોદરાની ધનીયાવી ચોકડી પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આજે અચાનક આવેલા વાવાઝોડાના કારણે વીજ પોલ ધરાશાયી થઈ જતા દુર્ઘટના થઈ ગઈ હતી અને ધરાશાયી થઈ રહેલા વીજ પોલથી બચવા જતા લાકડા ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રક ઈકો કાર પર પડ્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે હાઇ-વે પર અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી છે. વીજ થાંભલાથી ટ્રકને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યોમળતી માહિતી મુજબ સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ટ્રક જ્યારે ધનિયાવી ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ભારે પવન અને વાવાઝોડાને કારણે રોડ પર એક વીજ થાંભલો ધરાશાયી થયો હતો. વીજ થાંભલાથી ટ્રકને બચાવવા જતાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટીયરિંગ અચાનક ફેરવવાના કારણે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી અને તેની પાછળ આવી રહેલી ઈકો કાર પર જઈ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતોઅકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ટ્રક ચાલકને ઈકો કારના ચાલક બંનેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. થાંભલો ટ્રક પર પડ્યો એટલે ડ્રાઈવરે કટ માર્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈપ્રત્યક્ષદર્શી શિવશક્તિ પટેલે જણાવ્યું હતું કે, સાહેબ અચાનક એક ટ્રક સામે થાંભલો આવી ગયો હતો. એ થાંભલો ટ્રક પર પડ્યો એટલે ડ્રાઈવરે કટ માર્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી. એ ટ્રકમાં લાકડાં ભરેલાં હતાં જે અમારી ગાડી ઉપર પડ્યા. ટ્રકનો કેટલોક ભાગ પણ અમારી ગાડી પર પડ્યો હતો. ટ્રક ચાલકને સૌથી વધુ ઈજા થઈ છે. અમારી ગાડીમાં હું અને ડ્રાઈવર, એમ કુલ બે જ જણ હતા. જાનહાનિ તો નથી થઈ પણ અમને થોડી ઘણી ઈજાઓ થઈ છે.
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને ફૂંકાયેલા તેજ પવન સાથેના મીની વાવાઝોડાએ માત્ર જનજીવન જ નહીં, પરંતુ હવાઈ સેવાને પણ બાનમાં લીધી હતી. સુરત એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે વિમાની સેવાઓ ખોરવાઈ હતી, જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના મુસાફરોએ ભારે ફાળ અનુભવી હતી. 1.30 કલાક સુધી ફ્લાઈટ હવામાં રહીબેંગકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જ્યારે સુરતની સમીપ પહોંચી ત્યારે શહેર અને આસપાસના વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અને ભારે પવનને લીધે એરપોર્ટ પર લેન્ડિંગ કરવું જોખમી હતું. પરિણામે, પાયલટે લેન્ડિંગ મોકૂફ રાખી સલામત સમયની રાહ જોવી પડી હતી. નવસારી-ચીખલી પર રાઉન્ડફ્લાઈટ સુરત એરપોર્ટ પર ઉતરી ન શકતા તેને નવસારી અને ચીખલીના આકાશમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. મુસાફરો માટે આ સમય અત્યંત તણાવપૂર્ણ રહ્યો હતો. કારણ કે ફ્લાઈટ સતત દોઢ કલાક સુધી હવામાં જ રહી હતી અને અંદાજે 15 જેટલા રાઉન્ડ માર્યા હતા. આખરે જ્યારે પવનની ગતિ સામાન્ય થઈ અને હવામાન વિભાગ તરફથી ક્લિયરન્સ મળ્યું, ત્યારે જ વિમાનનું સુરત એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટની ફ્લાઈટને સુરત ડાયવર્ટ કરાઈમાત્ર સુરત આવતી ફ્લાઈટ જ નહીં, પરંતુ અન્ય શહેરોની હવાઈ સેવાને પણ અસર પહોંચી હતી. ખરાબ હવામાનના કારણે રાજકોટ જતી એક ફ્લાઈટને પણ લેન્ડિંગમાં મુશ્કેલી પડતા તેને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાં દોઢ કલાક સુધી સતત ગોળ ચક્કર કાપતી ફ્લાઈટને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, પાયલટની સૂઝબૂઝ અને હવામાન સાફ થવાની રાહ જોયા બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
સુરેન્દ્રનગરમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ પીર સૈયદ યુસુફમીયા બાપુના નિવાસસ્થાને ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાના સુંદર દર્શન થયા હતા, જ્યાં બંને સમુદાયના અગ્રણીઓ એકસાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઇફતાર સમારંભમાં શહેરના નામાંકિત ડોકટરો, વકીલો, રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને વેપારીઓ સહિત વિવિધ ધર્મ અને વર્ગના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ભાઈચારા અને સામાજિક એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત મહેમાનો દ્વારા સૈયદ યુસુફમીયા બાપુને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એક જ પંક્તિમાં બેસીને રોજા ખોલતા જોવા મળ્યા હતા, જેના કારણે સામાજિક સૌહાર્દ અને એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.
વલસાડમાં વાતાવરણ બદલાયું, ધૂળની ડમરીઓ ઉડી:ભારે પવનથી કેરીના પાકને નુકસાનની ભીતિ, ખેડૂતો ચિંતિત
વલસાડ જિલ્લામાં 19મી માર્ચની રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આ બદલાયેલા વાતાવરણથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે આ પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે ફૂંકાયેલા તેજ પવનને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેનાથી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. માર્ગો પરથી પસાર થતા મોપેડ, બાઇક અને સાયકલ સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનચાલકોને સલામતી માટે રસ્તા પર જ થંભી જવાની ફરજ પડી હતી. વલસાડ જિલ્લો તેની હાફૂસ અને કેસર કેરી માટે જાણીતો છે. હાલમાં આંબા પર મોર (ફૂલ) અને નાની કેરીઓ બેસવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે આવેલા વાતાવરણના પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ભારે પવનને કારણે આંબા પરથી મોર ખરી જવાની શક્યતા છે, તેમજ વાતાવરણમાં ભેજ અને પલટાને કારણે કેરીના પાકમાં મધિયો કે અન્ય રોગ આવવાનો ભય સતાવી રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ અચાનક આવેલા પલટાને કારણે લોકોની દિનચર્યા ખોરવાઈ હતી. ધૂળની ડમરીઓના કારણે રાહદારીઓને આંખ અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં છૂટાછવાયા ફેરફારોની સંભાવના વ્યક્ત કરી છે, જેના પગલે વહીવટી તંત્ર અને ખાસ કરીને બાગાયત વિભાગ સતર્ક બન્યું છે.
મુંબઈ ખાતે રહેતી મહિલા પતિ સાથે ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને પરત આવી રહ્યા હતા. દરમિયાન સાથે ટ્રેનમાં દંપતિ ઊંઘી જતા મોડી રાત્રિના સમયે તેમનો રૂપિયા 2.15 લાખની મતા ભરેલું પર્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઊંઘમાંથી જાગ્યા બાદ મહિલાને પર્સ નહીં જોવા મળતા શોધખોળ કરી પરંતુ કોઈ પતો લાગ્યો ન હોય પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દંપતી ભુજથી મુંબઈ જતું હતુંમુંબઈ ખાતે રહેતા રીટાબેન કેતનભાઇ શાહ તેમના પતિ સાથે ભુજથી મુંબઈ જવા માટે ભુજ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ કોચ A/1 માં સીટ નં. 45 પર બેઠા હતા અને રાત્રિના સમયે પોતાનું લેડીઝ હેન્ડપર્સ માથા પાસે રાખીને ઊંઘી ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન નજીક ધીમી ગતિએ પસાર થઈ રહી હતી. ત્યારે ચોરે તકનો લાભ લઈ હેન્ડપર્સ ચોરી લીધું હતું. રાત્રિના ગઠિયો 2.15 લાખની મતા ચોરી ફરારમહિલા જ્યારે ઊંઘમાંથી જાગી હતી ત્યારે તેમને પોતાનું પર્સ સીટ પર ન દેખાતા કોચમાં શોધખોળ કરી હતી પરંતુ પર્સ મળી આવ્યું નહોતું. ચોરાયેલા હેન્ડપર્સમાં મોબાઇલ ફોન રૂ.50 હજાર, 15 ગ્રામ સોનાની કાનની વેઢી રૂ. 1.5 લાખ, રૂ.15 હજાર રોકડ, આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકના બે ક્રેડિટ કાર્ડ તેમજ ઘરની ચાવીઓ સહિત કુલ રૂ.2.15 લાખનો મુદ્દામાલ મૂકેલો હતો. રીટાબેનની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
‘ઊર્જા મથકોને નિશાન બનાવવાનું ટાળો, નહીં તો...’ પશ્ચિમ એશિયામાં હુમલા બાદ ભારતની ચેતવણી
India Warns on West Asia Conflict : પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઓઈલ-ગેસ પ્લાન્ટો પર થઈ રહેલા હુમલાઓ અંગે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકારે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઉર્જા મથકો પર થઈ રહેલા આવા હુમલા અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક રોકવા જોઈએ. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ઊર્જા મથકોને નિશાન બનાવવાનું ટાળો, નહીં તો વૈશ્વિક ઊર્જા ક્ષેત્ર વધુ અસ્થિર બનશે.’ આવા હુમલાઓથી વૈશ્વિક ઉર્જા ક્ષેત્ર વધુ અસ્થિર બનશે : ભારત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ હુમલાઓને અત્યંત પરેશાન કરનારા ગણાવ્યા છે.
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો
Unseasonal Rain In Gujarat : રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આજે (19 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં માવઠું થયુ છે. જેમાં સૌથી અમરેલીના બગસરામાં 1.61 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે. 72 તાલુકામાં માવઠું
સોમનાથના ગોલોકધામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના નિજધામ ગમન તિથિની ભવ્ય આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી. ચૈત્ર શુક્લ પ્રતિપદા, જે શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમનની પવિત્ર તિથિ મનાય છે, તે અવસરને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ રીતે ઉજવાયો. આ કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી જોડાયા હતા. ઈ.સ. પૂર્વે ૩૧૦૨માં આ જ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પ્રભાસ ભૂમિ પરથી પોતાની માનવલીલાને વિરામ આપી વૈકુંઠ તરફ ગમન કર્યું હતું. આ પાવન પ્રસંગે, જે ૫૧૨૮ વર્ષ પૂર્ણ થવાનો અવસર હતો, ગોલોકધામ ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું. ઉત્સવનો પ્રારંભ સૂર્યોદય સમયે નવા વર્ષની પ્રથમ કિરણોના વધામણા સાથે થયો. મંત્રોચ્ચાર અને અર્ઘ્ય અર્પણ દ્વારા પવિત્ર વાતાવરણ સર્જાયું. ટ્રસ્ટી મંડળ દ્વારા ધ્વજારોહણ કરાયું, જ્યારે ગૌપૂજન અને વૃક્ષારોપણ દ્વારા ધાર્મિકતા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. બપોરે ૦૨:૨૭:૩૦ વાગ્યે, જે શાસ્ત્રોક્ત રીતે શ્રીકૃષ્ણના સ્વધામ ગમનની ક્ષણ મનાય છે, ત્યારે ચરણપાદુકાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. શંખનાદ અને જયઘોષ વચ્ચે સમગ્ર પરિસર હરિનામના ગુંજનથી ગુંજી ઉઠ્યું, અને ભક્તિનો માહોલ છવાઈ ગયો. ગીતા મંદિર ખાતે ગીતા પાઠ અને વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન થયું, જેમાં સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સાંજે સંસ્કાર ભારતી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો અને દિવસના કાર્યક્રમોની પૂર્ણાહુતિ મહાઆરતી સાથે થઈ. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ટ્રસ્ટીશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભજન, ભોજન અને ભક્તિના સુમેળ સાથે કાર્યક્રમનું ભાવપૂર્ણ સમાપન થયું. સમાપન સમયે વરસેલા હળવા વરસાદે સમગ્ર વાતાવરણને વધુ પાવન બનાવી દેતા ભક્તોમાં દિવ્ય આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
રાજકોટ શહેરમાં જાણીતી કંપનીઓના નામે છેતરપિંડી અને કોપીરાઇટના ભંગના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એશિયન પેઇન્ટ્સ કંપનીના ઉત્પાદનોના બારકોડ અને ક્યુઆર કોડ સાથે છેડછાડ કરી તેનું ગેરકાયદે વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે કેનાલ રોડ પર આવેલી એક દુકાનમાં દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કંપનીમાં આસિસ્ટન્ટ ઇન્વેસ્ટિગેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ હરીશચંદ્રભાઈ જયશવાલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. એશિયન પેઇન્ટ્સ કંપની વતી કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા ધરાવતી આ એજન્સીએ બાતમીના આધારે કેનાલ રોડ પર શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં આવેલી અપ્પુ પેઇન્ટ્સ નામની દુકાન પર નજર રાખી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દુકાનદાર એશિયન પેઇન્ટ્સના કન્ટેનર પરના બારકોડ અને ક્યુઆર કોડ પર માર્કર પેનથી ટપકા કરી છેડછાડ કરતો હતો. જેથી ઉત્પાદનની વિગતો ટ્રેક ન થઈ શકે. 18 માર્ચ, 2026ના રોજ સાંજે અંદાજે 5 વાગ્યે એ-ડીવીઝન પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે ‘અપ્પુ પેઇન્ટ્સ’માં દરોડો પાડ્યો હતો. દુકાનમાં હાજર માલિક ચિરાગભાઈ મહેન્દ્રભાઈ ઉદેશીની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી એશિયન પેઇન્ટ્સના અલગ-અલગ પ્રોડક્ટ્સના કુલ 66 નંગ કન્ટેનર મળી આવ્યા હતા, જેના બારકોડ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.4,66,210 થાય છે. ઓરડીમાંથી રૂ.9.39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન 1 ટીમને બાતમી મળી હતી કે, વાછકપર બેડી ગામનો રહેવાસી દિવ્યેશભાઇ નારણભાઇ ચંદરોલા પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને હાજર છે. આ બાતમીના આધારે પોલીસે વાડીમાં આવેલી ઓરડીમાં તપાસ હાથ ધરી ત્યારે ઓરડીમાં પ્લાસ્ટિકના કોથળા પાછળ અને વાડીમાં ઘાસના ઢગલા નીચે છુપાવેલી ઇંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે 9.33 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના 3120 ચપલા અને એક મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી દિવ્યેશ ચંદરોલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેના મિત્ર શક્તિસિંહ પરમારએ ત્યાં રખાવ્યો હતો. જેથી હાલ પોલીસે શક્તિસિંહ પરમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાઈટેન્શન વીજ લાઇનને અડકી જતા શોક લાગતા યુવાન પટકાયો રાજકોટમાં મજૂરી કામ કરતા મુકેશ નિસાદ (ઉ.વ.26) ગઈકાલે સાંજના 5 વાગ્યા આસપાસ કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આવેલી એક બિલ્ડિંગમાં સેન્ટિંગનું કામ કરી રહ્યો હતો દરમિયાન અચાનક નજીકમાંથી પસાર થતો વીજ તાર અડી ગયો હતો જેમાં વીજ પ્રવાહ એટલો જોરદાર હતો કે તાર અડતાની સાથે જ મોટો ભડકો થયો હતો અને વીજ શોકને કારણે મુકેશ ગંભીર રીતે દાઝી ગયો હતો. વીજળીના ઝટકાને કારણે સંતુલન ગુમાવી પહેલા માળ પરથી નીચે જમીન પર પટકાયો હતો. અકસ્માતમાં તેમને દાઝ્યાની સાથે શરીરે અન્ય ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી જેથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાંધકામની સાઈટ પર સુરક્ષાના સાધનો હતા કે નહીં અને વીજ તાર આટલી નજીક હોવા છતાં કામ કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કારખાનેદાર સાથે ધંધાના નામે સાયબર ફ્રોડ આચરનાર ગઠિયાને ઝડપી લેવાયો શાપરના કારખાનેદારને સોશિયલ મીડિયા મારફત સંપર્ક કરી એફ.આર.પી, મેવોલ કવર બનાવો છો, અમારે દર મહીને 20થી 22 ગાડી સપ્લાયની જરૂરિયાત છે કહીં નેપાળ બોર્ડરની ગવર્ન્મેન્ટ એપ્રુવલ લેવાના નામે રૂ.5300 પડાવી લેવાના સાયબર ફ્રોડ કેસમાં કુખ્યાત ગઠિયાને શાપર પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી વિશાલ ઉર્ફે કાનો હેમંત કણસાગરા (ઉ.વ.32)ને પકડી પાડી ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રોકડ રૂ.5,300 રીકવર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આરોપી અલગ અલગ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ મારફતે ધંધાર્થી વ્યક્તિઓ બાબતે જરૂરી માહિતી મેળવી તેમનો ઓનલાઇન સંપર્ક કરી ધંધાકીય વ્યવહાર બાબતે જરૂરી વાતચિત કરી, અલગ અલગ બહાના હેઠળ અંગત આર્થિક ફાયદા સારુ સાઇબર ફોડના નાણા મેળવી ગુન્હો આચરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં 2 ગુના તેમજ જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અંગે 8 અને પોરબંદર ખાતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ 11 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મોબાઈલ નેટવર્કના ગેરકાયદે બુસ્ટરોનો જથ્થો કબજે શહેરમાં મોબાઈલ નેટવર્કની ગુણવત્તા જાળવવા માટે કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ સાથે સંકળાયેલા વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન, અમદાવાદની ટીમ દ્વારા રાજકોટ અને લોધીકા જીઆઇડીસીમાં ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્ટર સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શહેરના પેડક રોડ, રણછોડનગર તથા લોધીકા જીઆઇડીસી વિસ્તારમાં તપાસ કરીને અનેક અનધિકૃત સિગ્નલ બૂસ્ટર્સ શોધી કાઢવામાં આવ્યા અને તેમને જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર બૂસ્ટરનો ઉપયોગ ઘણીવાર લોકો પોતાના વિસ્તારમાં નેટવર્ક સુધારવા માટે કરે છે, પરંતુ વાસ્તવમાં તે સમસ્યા હલ કરવાની જગ્યાએ વધુ ગંભીર બનાવે છે. આવા ઉપકરણોના કારણે મોબાઇલ હેન્ડસેટ વધુ પાવરથી સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે, જેના પરિણામે નજીકના ટાવરો પર ભાર વધે છે અને સમગ્ર વિસ્તારમાં નેટવર્ક કનેક્ટિવિટી નબળી પડે છે. જેથી ફરીયાદો ઉઠતા વાયરલેશ મોનિટરીંગ સેલ દ્રારા ખાસ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી.
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયતો અને બે નગરપાલિકાની મુદત પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન લાગુ કરાયું છે. આગામી દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના વચ્ચે મુખ્ય રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. બોટાદ જિલ્લા પંચાયત ઉપરાંત ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતો તેમજ બોટાદ અને બરવાળા નગરપાલિકામાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસ બંને સક્રિય બન્યા છે. બંને પક્ષો દ્વારા બેઠકો યોજી સંગઠનને મજબૂત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કોંગ્રેસ પક્ષે ભાજપ પર વિકાસના અભાવ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા રમેશભાઈ શીલુએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સ્થાનિક સ્તરે યોગ્ય વિકાસ થયો નથી, જેના કારણે લોકો પરિવર્તન ઈચ્છે છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને તક આપશે. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ પાસે કોઈ મજબૂત મુદ્દો નથી અને તે ફક્ત ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના કામોથી પ્રભાવિત જનતા ફરી એકવાર ભાજપને જ સત્તા સોંપશે. હાલ બોટાદ જિલ્લામાં બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે અને બંને પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા કયા પક્ષને પસંદ કરે છે તે જોવું રહ્યું.
ગોધરા શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજ પવન ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં દિવસભર અસહ્ય ગરમી અને બફારો અનુભવાયો હતો. જોકે, સાંજે વાતાવરણ બદલાતા નગરજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી. વાતાવરણમાં પલટો આવતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યંત તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પવનની ગતિને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના પરિણામે સમગ્ર વાતાવરણ ધૂંધળું બની ગયું હતું અને દૃશ્યતા ઘટી ગઈ હતી.
સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ શહેરભરમાં ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફત એક યુવક માટે કાળ બનીને આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાનું બોર્ડ પડવાને કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયેલા તેજ પવન અને મીની વાવાઝોડાએ સુરતને બાનમાં લીધું હતું. ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ, પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની છે. પર્વત પાટિયામાં મહાનગરપાલિકાનું બોર્ડ બન્યું કાળસુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. કમનસીબે, આ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘુઘરા વેચતા નીતિનભાઈ પર લોખંડનું બોર્ડ પડ્યુંમળતી માહિતી પ્રમાણે, મૂળ રાજકોટ 48 વર્ષીય નીતિન જયંતિભાઇ વાજા કારગિલ ચોક ખાતે આવેલી ત્રિવેણી સંગમ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. નીતિનભાઈ પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ઘુઘરા વેચતા હતા. આજે સાંજના સમયે નીતિનભાઈ ટેબલ નાખીને ઘુઘરા વેચી રહ્યાં હતાં, ત્યારે ફુકાયેલા મીની વાવાઝોડામાં મહાનગરપાલિકાનું ભારે ભરખમ લખંડનું બોર્ડ તેમના પર તૂટી પડ્યું હતું. ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શહેરના અન્ય વિસ્તારોમાં સર્જાયેલી તારાજીમાત્ર પર્વત પાટિયા જ નહીં, પણ શહેરના અનેક વિસ્તારોમાં વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે. નાનપુરા વિસ્તારમાં એક વિશાળ ઝાડ કાર પર પડ્યું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પીપલોદની શારદાયતન સ્કૂલ પાસે પણ ઝાડ પડ્યું હતું. આ ઉપરાંત, ઉમરા ગામમાં મોટું વૃક્ષ રસ્તા પર પડતા વાહનવ્યવહાર માટે રોડ બંધ કરવાની ફરજ પડી હતી. પતરાનો શેડ ઉડીને નીચે પડ્યોપૂણા લેન્ડમાર્ક પાસે લોખંડનો પોલ ધરાશાયી થયો હતો. કતારગામ-ડભોલી ચાર રસ્તા પાસે અશોકવાટિકા નજીક એક કોમર્શિયલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી આખો પતરાનો શેડ ઉડીને નીચે પડ્યો હતો. સિંગણપોર વિસ્તારમાં એક તોતિંગ વૃક્ષ શાક માર્કેટમાં પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ તમામ ઘટનાઓમાં અન્ય કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસોઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ અને પાલિકાની ટીમો હરકતમાં આવી છે. રસ્તા પર પડેલા વૃક્ષો અને હોર્ડિંગ્સ હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
લુણાવાડાના કાલિકા માતા ડુંગર પર વિકરાળ આગ ભભૂકી:વન અને ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલા કાલિકા માતા ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. લુણાવાડા શહેરના મધ્યમાં આવેલા આ ડુંગરના નીચલા ભાગે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ડુંગરને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગ નીચેથી ફેલાઈને ઉપર મંદિર સુધી પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ લુણાવાડા ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પવન વધુ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. ફાયર ટીમ અને વન વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભરૂચમાં ભારે પવન ફૂંકાયો:માર્ગો પર ધૂળની ડમરીઓની સાથે અનેક વિસ્તારોમાં પતરા અને હોર્ડિંગ્સ ઉડ્યાં
ભરૂચ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેથી શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગો પર દૃશ્યતામાં ઘટાડો થયો હતો, જેના લીધે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરના બજાર વિસ્તારોમાં વેપારીઓએ પોતાનો સામાન સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા. વાવાઝોડાની અસર નેશનલ હાઈવે 48 પર પણ જોવા મળી હતી. શહેર નજીક શિવકૃપા હોટલ પાસે એક કેબિન પવનના જોરદાર ઝાપટાથી ઉડીને હાઈવે પર પડી હતી. સદનસીબે, તે સમયે કોઈ વાહન પસાર ન થતાં મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત, શહેરના અનેક વિસ્તારોમાં પતરા અને હોર્ડિંગ્સ ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવા અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને જૂની ફોર વ્હીલ લે-વેચનો વ્યવસાય કરતા એક પ્રૌઢ સાથે તેના જ મિત્રએ વિશ્વાસઘાત કરી, બનાવટી દસ્તાવેજોના આધારે કાર વેચી બેન્કમાંથી લોન પોતાના એકાઉન્ટમાં જમા લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા રાજકોટ શહેર SOG પોલીસે આરોપી આનંદ ઉર્ફે અમિત ખખ્ખરની ધરપકડ કરી પાંચ મોટર કાર સહિત કુલ 21.05 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર SOG પોલીસ ટિમ દ્વારા ભેજાબાજ ચીટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આનંદ ઉર્ફે અમિત ખખ્ખર (ઉ.વ.29) જૂની ગાડી લે વેચનું કામ કરે છે જે પોતે ગુજરાત અને ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી મોટર કાર વેચવા માટે લાવતો હતો અને તેમાં પોતે મૂળ માલિક પાસેથી એનકેન પ્રકારે ગાડીની ઓરીજીનલ RC બુક મેળવી બાદમાં તેની ડુપ્લીકેટ કોપી બનાવી મૂળ માલિકની નજર ચૂકવી ઓરીજીનલ RC બુક પોતે મેળવી લેતો હતો. આ પછી ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી કાર ઉપર લોન પણ મેળવી લેતો હતો જેની રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં લઇ ગાડીના માલિક સાથે છેતરપિંડી આચરતો હતો. હાલ પોલીસ તેની ધરપકડ કરી તેની પાસેથી કુલ અલગ અલગ કંપનીની 5 ફોર વ્હિલ કાર અને એક મોબાઈલ મળી કુલ 21.05 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતી મોડેસ ઓપરેન્ડી?પોલીસના જણાવ્યા મુજબ આરોપી આનંદ ઉર્ફે અમિત જે લોકો પોતાની જૂની મોટરકાર વહેચવા માંગતા હોય તેનો સંપર્ક કરતો હતો અને તેમની પાસેથી ગાડીની RC બુકના ફોટા મંગાવતો હતો બાદમાં તેના ઉપરથી ડુપ્લીકેટ કલર RC બુક બનાવી અને બાદમાં વાહન માલીકને રૂબરૂ મળી RC બુક જોવા માટે માંગી અને બાદમાં મૂળ માલિકની નજર ચૂકવી કોઈ પણ રીતે છળકપટથી ઓરીજનલ RC બુક પોતે મેળવી લેતો હતો. બાદમાં ડુપ્લીકેટ RC બુક વાહન માલીકને પરત આપી દેતો હતો. આ પછી ટી.ટી.ઓ ફોર્મમા પણ બનાવટી સહી કરી ગાડી ઉપર બેન્કમાંથી ગાડી લેનાર ગ્રાહકના નામે લોન મેળવી તે લોન પોતાના ખાતામા જમા કરાવી લેતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા અને ઊંડાણ પૂર્વક તપાસ માટે તજવીજ હાથ ધરી છે. ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યાફરિયાદી બકુલભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.51) જેઓ જૂની ગાડીઓની લે-વેચનું કામ કરે છે, તેઓએ તેમના મિત્ર નયનભાઈ સાવલીયા પાસેથી એક હોન્ડા અમેઝ કાર રૂ.2,35,000માં ખરીદવાનું નક્કી કર્યું હતું. આ ગાડી આગળ વેચવા માટે તેમણે તેમના અન્ય એક મિત્ર આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખરને આપી હતી. આનંદ ખખ્ખરે બકુલભાઈના ઘરે જઈ ઓરીજનલ આર.સી. બૂક અને અન્ય દસ્તાવેજોના ફોટા પાડવાના બહાને બકુલભાઈની જાણ બહાર ઓરીજીનલ દસ્તાવેજો મેળવી લીધા હતા અને ત્યારબાદ આરોપી આનંદે ગાડીના મૂળ માલિક ભાવેશભાઈ મકવાણાની ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા હતા. નકલી દસ્તાવેજના આધારે ગાડી અન્ય શખસને વેચી દીધીનકલી દસ્તાવેજોના આધારે અમિતે ગાડી શેખ સારૂકમીયા નજુમીયા નામના વ્યક્તિને રૂ.2,82,000માં વેચી દીધી હતી. આ પછી રાજકોટ એસ.ઓ.જી. પોલીસને શંકાસ્પદ મિલકત તરીકે આ ગાડી મળી આવતા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગાડીના ઓરીજીનલ દસ્તાવેજો હજુ પણ ફરિયાદી બકુલભાઈ પાસે છે છતાં ગાડી અન્યના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે. જેમાં આરોપી આનંદે બકુલભાઈને ગાડીના નક્કી કરેલા રૂ.2,35,000 પણ ચૂકવ્યા ન હતા. આ મામલે બકુલભાઈ રાઠોડની ફરિયાદના આધારે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર વિરુધ્ધ BNSની કલમ 318(4), 336(2), 336(3), 338 અને 340(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાખણકા ગામે વાડીમાં આગ લાગી:200 મણ નિરણ બળીને ખાખ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શંકા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે એક વાડીમાં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 200 મણ નિરણ બળીને ખાખ થઈ ગયું હતું, જેના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, જોરદાર પવન ફૂંકાવાને કારણે વીજ વાયર એકબીજા સાથે અડક્યા હતા, જેના પરિણામે શોર્ટ સર્કિટ થયો અને આગ ભભૂકી ઉઠી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આગ લાખણકા ગામના ઘનશ્યામ હર્ષદભાઈ કળથીયાની વાડીમાં લાગી હતી. આગને કારણે તેમનું 200 મણ જેટલું સુકું નિરણ સંપૂર્ણપણે બળી ગયું હતું. સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાથી થયેલા નુકસાનને કારણે ખેડૂતને ભારે આર્થિક ફટકો પડ્યો છે. હાલમાં, આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે.
વડોદરા શહેરના વડસર રોડ પર આવેલી વલ્લભ વાટિકા સોસાયટીમાં આજે એક કરુણ ઘટના બની છે. ગેસ લાઈનની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાને કારણે એક 35 વર્ષીય શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં સુરક્ષાના સાધનોનો અભાવે કામદારનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડસર રોડ પર આવેલી વલ્લભ વાટિકામાં છેલ્લા એક અઠવાડિયાથી ગેસ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મૂળ રાજસ્થાનના વતની એવા 35 વર્ષીય અડીયાભાઈ પટેલ કામગીરી કરી રહ્યા હતા. ખોદકામ અથવા પાઈપ લાઈન ફિટિંગ દરમિયાન અચાનક વીજ લાઈન સાથે સંપર્ક થતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ એટલો ભયાનક હતો કે અડીયાભાઈનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. 'સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હોતો તો કામદારનો જીવ બચી જાત'સ્થાનિકો અને કામદારોમાં એવી ચર્ચા છે કે જો કામગીરી વખતે પૂરતા સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હોત, તો કદાચ આ શ્રમિકનો જીવ બચી શક્યો હોત. કોન્ટ્રાક્ટર કે જવાબદાર તંત્ર દ્વારા કામદારોની સુરક્ષાને લઈને કરવામાં આવતી બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીમૃતક અડીયાભાઈ રાજસ્થાનથી વડોદરા મજૂરીકામ માટે આવ્યા હતા. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અડીયાભાઈને સંતાનમાં 3 બાળકો છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી છે. વલ્લભ વાટિકાના પ્રમુખ રોનક મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે નોર્મલ પ્રોસીજર હોય છે, તે મુજબ જ કામ ચાલી રહ્યું હતું. આગળની સોસાયટીઓમાં પણ કામ થયેલું છે. ફોર્મ ભરીને અને મંજૂરી મેળવ્યા બાદ સર્વે કરીને કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ હવે તેના છેલ્લા તબક્કામાં હતું, ફક્ત થોડી લાઇન બાકી હતી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તેમના નિર્ધારિત કોન્ટ્રાક્ટરોને આ કામ સોંપવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ સોસાયટીનું કે કોર્પોરેશનનું કોઈ પણ કામ ચાલતું હોય, ત્યારે કામ કરનારાઓએ પાયાની સાવચેતી રાખવી જોઈએ. અમે પહેલા દિવસથી જ જ્યારે પ્રથમ ખાડો ખોદવામાં આવ્યો હતો, ત્યારે જ સૂચના આપી હતી કે, અંડરગ્રાઉન્ડ કેબલ્સ કે અન્ય કોઈ વસ્તુનું ધ્યાન રાખવું. હજુ પણ GEB દ્વારા ફાઇનલ ચેકિંગ થયા બાદ જ ખબર પડશે કે ડાયરેક્ટ કરંટ ક્યાંથી લાગ્યો છે, પણ અમને લાગે છે કે આ ઘટના કરંટ લાગવાને કારણે જ બની છે. તેઓએ કહ્યું કે, જે મજૂર કામ કરી રહ્યો હતો, તેના સાથીદારોએ થોડીવાર પછી આવીને જોયું તો તે હલતો ન હતો. પહેલા તેમણે પથ્થર મારીને જોયું, પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો. ત્યારબાદ તેમણે મને ફોન કર્યો અને હું ઘરે આવ્યો હતો. અમારી સોસાયટીમાં જ એક ડોક્ટર રહે છે, તેમણે પણ તપાસ કરી હતી. બાજુમાં રહેતા એક પોલીસ અધિકારીની સલાહ મુજબ અમે 112 પર ફોન કર્યો હતો અને એમ્બ્યુલન્સ આવી હતી. તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. GEB ની ટીમને પણ બોલાવવામાં આવી હતી જેથી મેઈન લાઈન બંધ કરીને વધુ જોખમ ટાળી શકાય. કોન્ટ્રાક્ટર ક્યારે સેફટીના સાધન આપે છે, ક્યારેક નથી આપતા- કામદારકામદાર અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, સાહેબ, અહીં છેલ્લા એક અઠવાડિયાથી ગેસ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. અમે લોકો ત્યાં જ કામ કરતા હતા. હું બીજી બાજુ કામ કરી રહ્યો હતો અને જે વ્યક્તિ સાથે આ ઘટના બની તે ખાડામાં કામ કરી રહ્યા હતા. ખાડામાં શું થયું તેની મને બહુ જાણ નથી. પણ જ્યારે મેં જોયું ત્યારે તેઓ ખાડામાં પડ્યા હતા. કદાચ તેમને કરંટ લાગ્યો હોય એવું લાગે છે. અમે તરત જ તેમને બહાર કાઢ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર સેફ્ટીના સાધનો તો આપે છે, પણ ક્યારેક અપાય છે અને ક્યારેક નથી અપાતા. પણ આ ઘટના તો અચાનક જ ઘટી ગઈ.. મૃતકનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. તેમને ત્રણ બાળકો અને પત્ની છે. તેઓ ઘરેથી નીકળી ગયા છે અને વડોદરા આવવા માટે રસ્તામાં જ છે.
મોરવા હડફના ખુદરા ખાતે 72 લાખ રૂપિયાના ખર્ચે છ નવા ઓરડાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે આ કાર્યનો પ્રારંભ થયો. આ ઓરડાઓના નિર્માણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. આનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં કોઈ અગવડતા નહીં પડે અને તેઓ 'ભણતર સાથે ગણતર' કરી શકશે. આ નિર્માણ કાર્ય મોરવા હડફ તાલુકાની ખુદરા પ્રાથમિક શાળા ખાતે હાથ ધરવામાં આવ્યું છે. ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ પોલીસે રાત્રિ ચેકિંગ અને પેટ્રોલિંગ વધાર્યું છે જેને કારણે ગુનેગારોમાં થોડો ડર જોવા મળી રહ્યો છે. બોડકદેવ પોલીસ ઇન્સ્પેકટર અપૂર્વ પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે જ સિંધુભવન રોડ ગોટીલા ગાર્ડન નજીક વાહન ચેકિંગ દરમિયાન એક બ્લેક મર્સિડીઝ ગાડીમાંથી બે ઇ સિગારેટ અને એક વિલાયતી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કારચાલક યુવકની પૂછપરછ કરતાં તેનું નામ અમન્યુ ઉર્ફે અમન હરીશભાઇ સોની (ઉ.વ. 28 રહે. એપલવૂડ વીલા, શેલા) હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે દારૂની બોટલ અને ઇ સિગારેટ જપ્ત કરી અમન્યુ ઉર્ફે અમન સોની સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના નામે 4.50 લાખની ઠગાઈથલતેજ પાણીની ટાંકી પાસેના રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા સુશીલ સોલંકી ઓલા-ઉબેરમાં ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે પરિવાર સાથે વિદેશમાં સેટલ થવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેણે વિઝા-વર્ક પરમિટની કામગીરી કોને આપવી તેનું ઓનલાઈન સર્ચ કર્યું હતું. જેમાં તેને જગતપુર ગણેશ ગ્લોરી બિલ્ડિંગમાં આવેલી “સર્ચ ઓવરસીસ”ની વિગતો મળી હતી. સુશીલ સોલંકીએ “સર્ચ ઓવરસીસ”ની ઓફિસમાં જઈને પોતાની તથા પત્ની ધર્મિષ્ઠા અને દીકરી અશ્વિની માટે ઓસ્ટ્રેલિયાના વિઝા અંગે વાત કરી હતી. ઓફિસમાં બેઠેલા મહેન્દ્રકુમાર ઈશ્વરભાઈ કોરીએ બધી વિગતો ચકાસી પરિવારના વર્ક વિઝા કરાવી આપવાના રૂપિયા 25 લાખની માંગણી કરી હતી. જેના એડવાન્સ પેટે મહેન્દ્ર કોરીએ 5 લાખ લીધા હતા. લાંબા સમય સુધી કામ ન થતાં સુશીલની ધીરજ ખૂટી ગઈ હતી. તેણે સતત પૂછપરછ કરી કામ ન થતાં રૂપિયા પરત માંગ્યા હતા. જેને પગલે ઈશ્વર કોરીએ તેને 50 હજાર રૂપિયા પરત કર્યા હતા. હવે બાકીના રૂપિયા 4.50 લાખ પરત ન કરી મહેન્દ્ર કોરીએ સોલંકી પરિવાર સાથે ઠગાઈ કરી હતી. જે અંગે સુશીલે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને ડાભીની ટીમે વધુ તપાસ આદરી છે. આઇસર ટ્રક નીચે આવી જતા મહિલાનું મોતબાપુનગરમાં રહેતા 64 વર્ષીય પ્રભાકર વાણી નિવૃત જીવન જીવે છે. ગત 12 માર્ચે તેઓ પિતાની ઉદક વિધી હાથીજણ ભાઇના ઘરે પૂર્ણ કરીને પત્ની 58 વર્ષીય સંગીતાબેનને બાઇક પર બેસાડીને ઘરે જતા હતા. ત્યારે વટવા જીઆઇડીસી -હાથીજણ રોડ પર કીઆ કારના શો-રૂમ પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ આઇસર ટ્રક તેમની જમણી બાજુથી ઓવરટેક કરતો હતો. આ દરમિયાન બાઇક અને ટ્રકની વચ્ચેથી એક બાઇકચાલક ઝડપથી નીકળવા જતા પ્રભાકરભાઇ ગભરાઇ જતા બાઇકનું બેલેન્સ ગુમાવતા દંપતી રોડ પર પટકાયું હતું. આ દરમિયાન પાછળ આવતી આઇસર ટ્રકની નીચે સંગીતાબેન આવી જતા ઢસડાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સંગીતાબેનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. પૂરપાટ આવતી રિક્ષાની ટક્કરે મહિલાનું મોતબાપુનગરમાં રહેતા કમલાબેન પટણી શાકભાજીની ફેરી કરતા હતા. ગત 12 માર્ચે રાત્રિના સમયે તેઓ શાકભાજી લેવા બાપુનગર ચાર રસ્તા પાસે ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવતા હતા ત્યારે સંસ્કાર આઇસ્ક્રીમની દુકાન પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ રિક્ષાચાલકે કમલાબેનને ટક્કર મારતા રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થતા રિક્ષાચાલક નાસી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત કમલાબેનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન કમલાબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા LCB એ હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી-સિક્કાનો ઉપયોગ કરીને નકલી દાખલા બનાવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 1,05,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ના PI ડી.સી. સાકરીયાના જણાવ્યા અનુસાર, ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી. બાતમી મુજબ, હિંમતનગરના મહેતાપુરા, બ્રહ્માણીનગર વિસ્તારમાં રહેતો કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ અને હિંમતનગર બહુમાળી ભવનમાં જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર તરીકે કામ કરતો ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ આ ગુનામાં સંડોવાયેલા હતા. આ બંને આરોપીઓ એવા લોકોના આધારકાર્ડ અપડેટ કરવા માટે નકલી દાખલા બનાવતા હતા, જેમના પાસે જરૂરી દસ્તાવેજોનો અભાવ હતો. તેઓ હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સિક્કા બનાવી, તેનો ઉપયોગ કરીને જાતિ, આવક અને EWS જેવા ખોટા દાખલા બનાવતા હતા. આ નકલી દાખલાઓને UIDAI વેબસાઇટ પર અપલોડ કરીને તેઓ ખોટા આધારકાર્ડ બનાવતા હતા. બાતમીના આધારે LCB ની ટીમે બ્રહ્માણીનગરમાં કિશોરકુમારના ઘરે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી બંને આરોપીઓ મળી આવ્યા હતા. ટેકનિકલ તપાસમાં તેઓ ખોટા દસ્તાવેજો અને સિક્કા બનાવી નકલી પ્રમાણપત્રો બનાવતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો અને સિક્કા સહિત કુલ રૂ. 1,05,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓના નામ અને સરનામા નીચે મુજબ છે: 1. કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ (ઉંમર 32), રહે. 22-વિષ્ણુનગર સોસાયટી, બ્રહ્માણીનગર, મહેતાપુરા, હિંમતનગર. મૂળ રહે. કુશાલપુર, કુમ્હારો કા વાસ, તા. જી. પાલી (રાજસ્થાન). 2. ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ (ઉંમર 35), હાલ રહે. 40/એ, કૃષ્ણ પાર્ક સોસાયટી, બેરણા રોડ, મહાવીરનગર, હિંમતનગર. મૂળ રહે. ખેડ ચાંદરણી, તા. હિંમતનગર.
આંત્રોલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:રૂ. 84,500નો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ
પાલનપુર તાલુકાના આંત્રોલી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે કાર્યવાહી કરી કુલ ₹84,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ડામવા કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈએ દારૂ અને જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. એલ.સી.બી. પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમીના આધારે, પોલીસે આંત્રોલી ગામ, શિવમાળા સોસાયટી સામે રહેતા અશ્વિનસિંહ સિધ્ધરાજસિંહ ચૌહાણ (ઉં.વ. 22) ના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, 45 લિટર દેશી દારૂ (કિંમત ₹9,000), 20 લિટર ગરમ વાંસ (કિંમત ₹500), અને 3000 લિટર વોશ (કિંમત ₹75,000) મળી આવ્યો હતો. આ ઉપરાંત, ચાલુ ભઠ્ઠીના સાધનો જેવા કે પાટીનું કપડું (2 નંગ), માટીના ચાડા (2 નંગ), તેમાં ફીટ કરેલી પ્લાસ્ટિકની પાઇપ (2 નંગ), એલ્યુમિનિયમના દેગડા (2 નંગ), પીપડા (2 નંગ), ભારત ગેસની બોટલ (1 નંગ) અને સગડા (2 નંગ) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹84,500નો મુદ્દામાલ જપ્ત કરી અશ્વિનસિંહ ચૌહાણ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. બે દિવસ સુધી અલગ અલગ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે ગઈકાલે મોડી રાતથી જ અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમજ ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાતા વાહનચાલકો પરેશાન થયામાર્ચ મહિનામાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણ પલટો આવ્યો છે. પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ રહી હોવાથી લોકોને આકરા તાપમાંથી રાહત મળી છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી કરવામાં આવી હતી કે છેલ્લા 24 કલાક ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવાની સાથે સાથે વરસાદ પણ થઈ શકે છે. જેના પગલે ગઈકાલે મોડી રાતથી શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ સવારથી શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. શહેરના અનેક વિસ્તારમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. દિવસભર ભારે પવનના કારણે 20 જેટલા વૃક્ષો ધરાશાયીભારે પવન ફૂંકાવાના કારણે શહેરમાં વહેલી સવારથી સાંજ સુધી 20 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા. શહેરના શ્યામલ ક્રોસ રોડ, NID સર્કલ, સરખેજ સેટેલાઇટ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે એક તરફનો રસ્તો પણ બંધ વાહન ચાલકોની અવરજવર માટે બંધ થઈ ગયો હતો. તો સરસપુરમાં ભારે પવન ફૂંકાતા રસ્તો પરથી જતી ગાડી પર એક વૃક્ષ ધરાશાયી થઈને પડ્યું હતું. જે બાદ સ્થાનિકો તરત જ દોડી આવી ગાડીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. જો કે સદનસીબે કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નહતી, પરંતુ ગાડીને ભારે નુકસાન થયું છે. મેટ્રો કોર્ટની અનેક બારીઓના કાચ તૂટ્યાતો બીજી તરફ પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા અને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમાં પણ ઓફીસથી અથવા નોકરીથી ઘરે પરત જઈ રહેલા લોકોને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. તો અમદાવાદ મેટ્રો કોર્ટની અનેક બારીઓના કાચ પણ ભારે પવન ફૂંકાતા તૂટી ગયા હતા. કોઈ વ્યક્તિ નીચે હાજર ન હોવાથી કોઈપણ જાનહાની થઈ નહતી. તેમજ અનેક શહેરમાં ઝરમર ઝરમર વરસાદી છાંટા પણ અનેક વિસ્તારમાં પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સાઈ ગણેશ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ:પ્રેમાનંદજી મહારાજના જન્મદિવસ નિમિત્તે 400 લિટર છાશનું વિતરણ કરાયું
શ્રી સાઈ ગણેશ ટ્રસ્ટ કર્ણાવતી દ્વારા ચૈત્ર નવરાત્રી, હિન્દુ નવ વર્ષ, ગુડી પડવા અને પ્રેમાનંદજી મહારાજના જન્મદિવસ નિમિત્તે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત વાડજ પોલીસ ચોકી પાસે, વાડજ પોલીસ સ્ટેશન નજીક 400 લિટર છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્યમાં ધવલભાઈ પટેલ, ધવલભાઈ ધૂળે, સમસ્ત સાઈ ગણેશ ટ્રસ્ટના સભ્યો અને હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટના માલિક પણ જોડાયા હતા.
પાટણ સહિત ચાર તાલુકામાં કમોસમી વરસાદ:વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની ચિંતા
પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુરુવારે મોડી સાંજે પાટણ સહિત ચાણસ્મા, હારીજ અને સમી તાલુકામાં ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. બુધવારે મોડી રાત્રે વાવાઝોડા સાથે સામાન્ય વરસાદી છાંટણા પડ્યા હતા. ગુરુવારે વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને દિવસભર પવનના સૂસવાટા અનુભવાયા હતા. મોડી સાંજે શરૂ થયેલા આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. તેમના ખેતરોમાં ઊભા ઉનાળુ પાક જેવા કે ઘઉં, સવા, અજમો, વરિયાળી અને ખરીફ પાક એરંડાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં રહેતા એક 72 વર્ષીય વૃદ્ધાને તેનો પુત્ર અને પુત્રવધૂ પરેશાન કરતા હોય વૃદ્ધાએ પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી. જે મામલે ટ્રીબ્યુનલ સમક્ષ જતા ટ્રીબ્યુનલે પુત્રને 15 દિવસમાં ઘર ખાલી કરી દેવા અને વૃદ્ધ માતાને દર મહિનો ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો છે. આ નિર્ણયથી સમાજમાં વૃદ્ધોના અધિકારો પ્રત્યે એક મજબૂત સંદેશ વહેતો થયો છે અને અન્યાયી સંતાનો સામે લાલબત્તી ધરી છે. 72 વર્ષીય વૃદ્ધાએ પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતીશહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ પોતાના જ પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ સુરત પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી. માતાનો ગંભીર આક્ષેપ હતો કે, જે ઘર તેમણે પોતાની જીવનભરની કઠોર મહેનત અને કમાણીથી ખરીદ્યું છે, તે જ ઘરમાં તેમને અત્યંત પારાવાર દુઃખ અને અપમાન સહન કરવું પડી રહ્યું છે. પુત્ર અને વહુ ઘર પચાવી પાડવાના નીચ ઈરાદે તેમને અવારનવાર ધમકાવતા હતા અને જમવા જેવી પાયાની જરૂરિયાતો બાબતે પણ માનસિક હેરાનગતિ કરીને જીવવું મુશ્કેલ કરી દીધું હતું. સિનિયર સિટીઝન એક્ટ હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહીમાતાની આ વેદનાસભર અરજીને ગંભીરતાથી લઈને કોર્ટે 'મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ-2007' ની કડક કલમો હેઠળ સુનાવણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી કે વૃદ્ધાને તેમના જ આલિશાન ઘરમાં કેદી જેવી લાચાર હાલતમાં રાખવામાં આવતા હતા. ટ્રિબ્યુનલે કડક શબ્દોમાં અવલોકન કર્યું કે, દરેક સંતાનોની પ્રાથમિક જવાબદારી પોતાના અશક્ત માતા-પિતાની સેવા કરવાની છે, નહીં કે તેમને મિલકત માટે પ્રતાડિત કરી ઘરની બહાર કાઢવાની કે માનસિક રીતે તોડી નાખવાની હોય છે. 15 દિવસમાં ઘર ખાલી કરવા માટેનું આખરી અલ્ટીમેટમબંને પક્ષોની લાંબી દલીલો અને પુરાવાઓ તપાસ્યા બાદ, ટ્રિબ્યુનલે પુત્ર અને તેના પરિવારને આગામી 15 દિવસની નિર્ધારિત મર્યાદામાં ઘર ખાલી કરવાનો કડક આદેશ આપ્યો છે. જો નિયત સમયમાં સ્વેચ્છાએ ઘર ખાલી કરવામાં નહીં આવે, તો પોલીસ પ્રોટેક્શન સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ગંભીર ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ કોર્ટે પુત્રને માતાના ભરણપોષણ અને દવાના ખર્ચ માટે દર મહિને નક્કી કરેલી રકમ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી વૃદ્ધા ગૌરવભેર પોતાનું જીવન પસાર કરી શકે.
દુનિયાને અને અમેરિકાને ઈરાનના ન્યુક્લિયર હથિયારોથી ખતરો છે અને તેને ખતમ કરી દેવા જોઈએના શંખનાદ સાથે અમેરિકાની મદદથી શરૂ થયેલું ઈઝરાયલ-ઈરાન યુદ્ધ હવે ન્યુક્લિયરનું નહીં પણ તેલનું યુદ્ધ બની ગયું છે. હવે વાત આપણા ખાલી થતા ખિસ્સા અને ગ્લોબલ એનર્જીના કંન્ટ્રોલ સુધી પહોંચી ગઈ છે. આ બધામાં સૌથી ઓછી ચર્ચા થઈ હોર્મુઝની ખાડીમાં આવેલા ઈરાનના કેશમ આઈલેન્ડની જેના અંડરગ્રાઉન્ડ બંકરે દુનિયાની ઈકોનોમીના ચીંથરા ઉડાવી દીધા છે. એવામાં ગઈકાલે ઈરાને બહેરિનની મસમોટી નેચરલ ગેસ રિફાઈનરીમાં ધડાકા કરીને ચૂરો બનાવી દીધો છે. જોકે અસલી ધડાકો તો વોશિંગ્ટનમાં થયો જ્યારે એક રિપોર્ટમાં સામે આવ્યું કે અમેરિકા જે ઈરાનના ન્યુક્લિયર શક્તિ વધારવાની વાત કરી રહ્યું હતું તેવું ખરેખર કંઈ હતું જ નહીં. તુલસી ગબાર્ડના સનસનીખેજ રિપોર્ટમાં મોટા ધડાકા થયા કે પાકિસ્તાન એવી મિસાઈલ્સ બનાવી રહ્યું છે જેની રડારમાં અમેરિકા પણ આવી જશે. જ્યારે આ બધું ચાલી જ રહ્યું હતું ત્યારે દુનિયામાં અર્થતંત્રની આંધી ચાલી રહી હતી અને રશિયા તેલ અને ગેસ વેચીને ખિસ્સા ભરી રહ્યું હતું. તેણે પાકિસ્તાનને પણ તેલ આપવાની વાત કહી છે. આ બધી વાતોને ધ્યાને લઈને આજે આપણે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અપડેટ માહિતી મેળવીશું. નમસ્કાર... ઈઝરાયલ-ઈરાન યુદ્ધ માત્ર બે જ અઠવાડિયામાં ન્યુક્લિયરથી તેલ સુધી ફેલાઈ ગયું છે. ઈરાને બાંગ પોકારી છે કે અમારી ઉપર ઉની આંચ પણ આવશે તો પર્શિયન ગલ્ફમાંથી તેલનું એક ટીંપુ પણ દુનિયા સુધી નહીં પહોંચી શકે. બહેરિનમાં ધડાકો, દુનિયામાં ધ્રુજારી જ્યારે આ બધુ ચાલી જ રહ્યું હતું ત્યારે ઈરાનની પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલા પછી ઈરાને મિડલ ઈસ્ટમાં ગેસ ફિલ્ડ પર હુમલાઓની ધમકી આપી હતી. જે હવે હકિકત બની ગઈ છે. ઈરાને બહેરિનની સૌથી મોટી નેચરલ ગેસ રિફાઈનરી પર હુમલો કરી દીધો છે. વાત જાણે એમ છે કે બહેરિન અને સાઉદી અરેબિયાની બોર્ડર પાસે આવેલી ગેસ ફેસેલિટી પર ઈરાને મિસાઈલ છોડીને મોટો ધડાકો કર્યો છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર બહેરિન અને સાઉદી અરેબિયાનો જોડનાર કિંગ ફલાદ પુલ સુધી પહોંચી અને તે ડેમેજ થયો છે. કતાર એનર્જીએ પોસ્ટ કરીને લખ્યું છે કે “એક મિસાઇલ વિશાળ રાસ લાફાન LNG સુવિધા પર ત્રાટકી, જેના કારણે આગ ફાટી નીકળી, બુઝાવતા પહેલા ભયાનક નુકસાન થયું છે.” આ હુમલા પર સાઉદી અરેબિયાના પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે કહ્યું છે કે, “સંઘર્ષમાં ન જોડાયેલા મારા દેશ અને મારા પાડોશી દેશો પર હુમલા થયા, હુમલા રોકવા અમે રાજકીય, આર્થિક, કુટનીતિક અથવા તમામ પ્રકારના પ્રયાસો કરીશું.” 32 મર્યાં અને ઈરાન બગડ્યું અગાઉ 9 માર્ચે ઈરાની ડ્રોન્સ અને મિસાઈલ્સે બહેરિનના સિત્રામાં આવેલી બાપ્કો એનર્જીશની રિફાઈનરીને નિશાન બનાવી હતી. હુમલામાં 32 નિર્દોષો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. બીટવિન ધ લાઈન આને સમજીએ તો હવે યુદ્ધ ન્યુક્લિયર નહીં પણ તેલ અને ગેસ પર આવીને અટકી ગયું છે. પણ સવાલ થાય કે હુમલા માટે ઈરાને બહેરિનને જ કેમ સિલેક્ટ કર્યું? તો તેના ત્રણ કારણો છે ઈરાનનો એટેકિંગ મોડ ઓન ઈરાનનો અમેરિકા ફિફ્થ ફ્લિટ પર હુમલો એટલે અમેરિકાના ઘરમાં ઘૂસીને તેમને લાફો મારવા સમાન છે. આ હુમલાએ સાબિત કરી દીધું છે કે ઈરાન ડિફેન્સિવથી ઓફિન્સિવ મોડમાં આવી ગયું છે. 12 માર્ચે મુહર્રક ફ્યૂઅલ ડેપો પર ઈરાને કરેલો હુમલો એ વાતનું પ્રુફ છે કે ઈરાન દુનિયાની તેલ અને ગેસ સિસ્ટમ ઠપ્પ કરાવીને અમેરિકા અને પશ્ચિમ દેશોને સીધો પડકાર ફેંકે છે કે બસ હવે બહુ થયું, યુદ્ધ બંધ કરો બાકી આખી દુનિયા સળગશે. એ આઈલેન્ડ જે યુદ્ધનો અભેદ્ય કિલ્લો પણ જ્યારે આ બધુ જ થઈ રહ્યું છે ત્યારે લોકોની નજર ઈરાનના નાનકડા ટાપુ પર નથી પહોંચી શકી. નામ છે કેશમ આઈલેન્ડ. એક સમયે જે ટાપુ ટુરિઝમનું હોટસ્પોટ હતું તે આજે દુનિયાના તેલ અને ગેસ સપ્લાયને રોકવા માટેનું ટ્રિગર બની ગયું છે. ગુજરાતથી અંદાજે 1700 કિલોમીટર દૂર આવેલી છે હોર્મુઝ સ્ટ્રેટ, જ્યાંથી દુનિયાનું 20-22 ટકા તેલ અને ગેસ પસાર થાય છે. અહીં ઈરાનનો અજેય કિલ્લો કેશમ આઈલેન્ડ આવેલો છે. અહીંથી પસાર થતા દરેક ઓઈલ ટેન્કર ઈરાનની મિસાઈલ રેન્જ અને નજર નીચે હોય છે. અહીં મીઠાની ગુફાઓમાં ઈરાને મિસાઈલ્સ અને સી માઈન્સ રાખી શકાય એવા વિશાળ મિલિટરી બેઝ તૈયાર કર્યા છે. મીઠાની ગુફાઓમાં ઈરાનનું મિસાઈલ્સ સેન્ટર? ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે કેશમ આઈલેન્ડ નામના અભેદ્ય કિલ્લાનો બખૂબી ફાયદો ઉઠાવ્યો. રિપોર્ટ્સ મુજબ ટાપુની સેંકડો ફૂટ નીચે મિસાઈલ સિટી અને આર્મી કમાન્ડ સેન્ટર આવેલું છે. કેશમ દ્વીપઃ ન ડૂબે તેવું કુદરતી ઈરાની જહાજ કહેવાય છે કે કેશમ આઈલેન્ડનું અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક એટલું મજબૂત છે કે તે પરમાણુ હુમલા કે બોમ્બમારાને પણ સહન કરી શકે છે. અહીંથી ઈરાન જે એડવાન્સ્ડ ડ્રોન અને એન્ટી શિપ મિસાઈલ્સ લોન્ચ કરે છે તે સેટેલાઈટથી પણ પકડવું મુશ્કેલ છે. આ જ આઈલેન્ડની મદદથી ઈરાને દુનિયાની તેલ સપ્લાય કરનાર હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધી છે. કેશમ આઈલેન્ડના લીધે હોર્મુઝ વિસ્તારથી કોઈ જહાજો નથી નિકળી શકતા અને દુનિયામાં તેલ અને ગેસની તંગી ઉભી થઈ ગઈ છે. અમેરિકા પાસે અનેક મહાકાય દરિયાઈ યુદ્ધ જહાજો છે પણ ઈરાન પાસે કેશમ આઈલેન્ડ નામનું એવું કુદરતી યુદ્ધ જહાજ છે જે ન ડૂબી શકે તેવું છે. પાણી પર પ્રહાર અને ઈરાનનો આક્રોશ અમેરિકા ઈરાન માટે કેશમ આઈલેન્ડની કિંમત જાણે છે. 7 માર્ચે તેણે કેશમ આઈલેન્ડના પાણી ચોખ્ખું કરતા પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. જેના કારણે ઈરાનના અંદાજે દોઢ લાખ લોકોને પીવાના પાણીના ફાંફાં પડી ગયા હતા. ઈરાને એટલા માટે જ અમેરિકાના વળતા જવાબમાં બહેરિન અને અમેરિકન ફિફ્થ ફ્લિટ પર હુમલો કર્યો હતો. તુલસી ગબાર્ડના રિપોર્ટમાં મોટો ધડાકો પણ જ્યારે આ બધુ જ ચાલી રહ્યું છે ત્યારે ઈરાનથી 10 હજાર કિલોમીટર દૂર વોશિંગ્ટન સિટીના કોરિડોરમાં એક ધડાકો થયો, જેણે ઈરાન સામે અમેરિકાએ શરૂ કરેલા યુદ્ધના પાયા હલાવી દીધા. અમેરિકાના DNI એટલે કે ડિરેક્ટર ઑફ નેશનલ ઈન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે સેનેટ ઈન્ટેલિજન્સ સામે જુબાની રિપોર્ટ રજૂ કર્યો. જેણે સાબિત કરી દીધું કે ટ્રમ્પે ખોટી રીતે ન્યુક્લિયર પાવર વધારવાની વાતો કરીને ઈરાન પર હુમલો કરી દીધો. ન્યુક્લિયર બહાનુ, નિશાન તેલ-ગેસ? આખી વાત એમ છે કે 28 ફેબ્રુઆરીએ જ્યારે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન ખાલી બે જ અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી લેશે. પણ તુલસી ગબાર્ડના લેખિત રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જૂન 2025માં જ્યારે ઈરાન સામે ઓપરેશન મિડનાઈટ હેમર ચાલ્યું હતું ત્યારે જ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના ફુરચા બોલી ગયા હતા. અધૂરામાં પૂરું તેના પછી ઈરાને ક્યારેય ન્યુક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કરવાની કોશીશ નથી કરી. ટ્રમ્પ નીતિ સામે અધિકારી ગિન્નાયા આ વાતથી બિટવિન ધ લાઈન એવું સમજી શકાય કે 2026નું યુદ્ધ ઈરાનના ન્યુક્લિયર પ્રોજેક્ટને રોકવા નહીં પણ ઈરાનની સત્તા પલટાવવા, ઈરાનની સૈન્ય તાકાત તોડવા અને ગલ્ફ દેશોમાં અમેરિકાનો દબદબો વધારવા શરૂ થયું હતું. જેનો જીવતો જાગતો પુરાવો 17 માર્ચે મળ્યો જ્યારે નેશનલ કાઉન્ટર ટેરિરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. જો અમેરિકન નેશનલ કાઉન્ટર ટેરિરિઝમ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર જો કેન્ટે રાજીનામું આપતા સમયે લખ્યું કે, ઈરાન તરફથી અમેરિકા પર કોઈ તાત્કાલિક ખતરો ન હતો. આ યુદ્ધ માત્ર વિદેશી હિતો અને લોબિંગના દબાણ માટે જ શરૂ કરવામાં આવ્યું છે. ઈરાન પછી હવે પાકિસ્તાનનો વારો? પણ ગબાર્ડનો રિપોર્ટ અહીં જ નથી અટકતો. તેમણે ચેતવણી આપી છે કે પાકિસ્તાન હવે એવી ICBM મિસાઈલ્સ બનાવી રહ્યું છે જે સીધી અમેરિકા સુધી પહોંચી શકે છે. પાકિસ્તાની મિસાઈલનો અમેરિકાન ઘેરો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2035 સુધીમાં ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પાસે લગભગ 16 હજારથી વધુ મિસાઈલ્સ હશે. જે 2026ના 3 હજારના આંકડા કરતા પાંચ ગણાથી વધુ હશે. આપણી એટલે કે ભારતની વાત કરીએ તો પાકિસ્તાનનો આ પરમાણુ પ્રોજેક્ટ ભારત અને દુનિયા બંને માટે ખતરો બની શકે છે. તમને યાદ હોય તો એટલા માટે જ આપણે અગાઉ એક એડિટર્સ વ્યૂમાં વાત કરી હતી કે ઈરાનને બરબાદ કર્યા બાદ હવે અમેરિકાનો નેક્સ્ટ ટાર્ગેટ પાકિસ્તાન હોય શકે છે. આજની તારીખે જ્યારે મિડલ ઈસ્ટના રણમાં અમેરિકા-ઈઝરાયલની મિસાઈલ્સ અને ઈરાનના ડ્રોન્સ વચ્ચે તાંડવ થઈ રહ્યું છે ત્યારે હજારો કિલોમીટર દૂર રશિયાના ક્રેમલિનમાં એક અલગ જ પ્રકારની દિવાળી ઉજવાઈ રહી છે. દુનિયામાં માતમ ને મહાશક્તિને મલાઈ ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ખાડી દેશોમાં રાજકીય કે સૈન્ય ભૂકંપ આવે છે ત્યારે અમેરિકા, ચીન અને રશિયાની તિજોરીઓ છલકાય છે. દુનિયા જ્યારે એનર્જી ક્રાઈસિસ સામે લથડિયા મારી રહ્યું છે ત્યારે રશિયાને સૌથી વધુ આર્થિક લાભ થઈ રહ્યો છે. ભારતની પીઠમાં રશિયન છૂરો? ઈરાને હોર્મુઝ ખાડી પર કબજો જમાવતા ગ્લોબલ ઓઈલ સપ્લાયનું ગળું રુંધાઈ ગયું છે. 60 ડોલર પ્રતિ બેરલે વેચાતું બ્રેન્ટ ક્રુડ ઓઈલ 120થી 140 ડોલર પ્રતિ બેરલ વચ્ચે હિંચકા ખાઈ રહ્યું છે. અને આનો જ ફાયદો રશિયાને થઈ રહ્યો છે. રશિયાએ તેના યુરલ્સ ક્રુડને અમુક દેશોને મોંઘા ભાવે વેચવાનું શરુ કરી દીધું છે. ઈરાનમાં યુદ્ધનો ધુમાડો, રશિયા માલામાલ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી અને સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરના ડેટા મુજબ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ પહેલા રશિયા રોજ 4.21 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ વેચીને 535 મિલિયન ડોલરનો નફો કમાતું હતું. યુદ્ધ બાદ રશિયા આજે ચાર ગણા વધુ 4.8થી 5 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ વેચીને 600થી 730 મિલિયન ડોલરની કમાણી કરી રહ્યું છે. રશિયન ક્રુડ ઓઈલ વેચાણના વોલ્યુમમાં 15-20 ટકા, રેવેન્યુમાં 14 ટકા અને રોજ કમાણીમાં 150 મિલિયન ડોલરનો વધારો થયો છે. રશિયાનો ભારતને સાયલેન્ટ ડિપ્લોમેટિક મેસેજ આ એ જ રશિયા છે જેની પાસેથી દુનિયાભરના દેશો પર ક્રુડ ઓલી અમેરિકાએ પ્રતિબંધો લગાવીને દબાણો ઊભા કર્યા હતા. પણ એ જ અમેરિકા ભારત સહિત અનેક દેશોને રશિયા પાસેથી થોડા સમય માટે ક્રુડ ઓઈલ અને ગેસ ખરીદવા માટે પરમિશન આપી રહ્યું છે. હોર્મુઝ બંધ થતાં ગ્લોબલ સપ્લાય ચેઈન અટવાઈ પણ એક્સપર્ટ્સ બિટવિન ધ લાઈન્સ એવા વિશ્લેષણો કરી રહ્યા છે કે રશિયાએ ભારતના પીઠ પીછળ છૂરો ભોંક્યો છે. કારણ કંઈક એવું છે કે, 17 માર્ચ 2026ના રોજ રશિયન રાજદૂત આલ્બર્ટ ખોરેવે એક જાહારેત કરી હતી જેણે ભારતીય વિદેશ મંત્રાલય અને એમ્બેસિઝમાં હલચલ મચાવી દીધી હતી. કારણ કે રશિયાએ પાકિસ્તાનને ડિસ્કાઉન્ટ આપીને ઓછા ભાવે તેલ આપવાની વાત કરી હતી. ધ્યાનથી સાંભળજો રશિયા આપણું જૂનું દોસ્ત રાષ્ટ્ર છે પણ તેણે ભારતને તેલ આપવામાં કોઈ ડિસ્કાઉન્ટ નથી આપ્યું. આને એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે ભારત અમેરિકાથી વધુ નજીક જવાનું બંધ કરે, બાકી રશિયાથી દૂરી બનતી જશે અને મદદ પણ રોકાશે. આ સસ્તા રશિયન તેલથી પાકિસ્તાનને મોટો ફાયદો થશે. આનાથી એવું કહી શકાય કે રશિયા માત્ર ભારત પર ફોકસ કરવાની જગ્યાએ પૂરા એશિયા પર પોતાનો પ્રભાવ જમાવવા ઈચ્છી રહ્યું છે. નાટોની કિટ્ટા, ટ્રમ્પ એકલા પડ્યા ઈરાને જ્યારે હોર્મુઝની ખાડીને મિલિટરી કંટ્રોલ હેઠળ લઈને તેલનો ટ્રાફિક અટકાવી દીધો, ત્યારે વિશ્વમાં તેલ અને ગેસની કિલ્લત કટોકટી ઉભી થઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હોર્મુઝનો જળમાર્ગ ખોલાવવા માટે વેસ્ટર્ન મિલિટરી ઓર્ગેનાઈઝેશન NATO સહિત અનેક દેશો પર દબાણ કર્યું, પણે ટ્રમ્પ ભોંઠા પડ્યા. તેમને એવું હતું કે બધા સાથ આપશે પણ નાટો તો ઠીક કોઈ દેશ ટ્રમ્પ સાથે આ વાત પર ઊભું ન રહ્યું. આવું થતા ટ્રમ્પનો પિત્તો ગયો અને ધમકી આપી કે નાટોનું ફ્યુચર ખૂબ જ ખરાબ હશે. પણ તો'ય જર્મની, બ્રિટન, ફ્રાન્સ કે ઓસ્ટ્રેલિયા જેવા નાટો દેશોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બ્લોકેજ ખોલાવવા પોતાના જહાજો મોકલવાની ટ્રમ્પને ઘસીને ચોખ્ખી ના પાડી દીધી. નાટોની ટ્રમ્પને યુદ્ધમાં જોડાવા ઘસીને ‘ના’ નાટો સહિત બીજા દેશોએ ટ્રમ્પની મદદ એટલા માટે ન કરી કારણ કે ઈરાન સામેનું યુદ્ધ અમેરિકા અને ઈઝરાયલનું છે. જો કોઈ દેશ હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાનું જહાજ મોકલે તો તે આ યુદ્ધમાં સીધી રીતે જોડાય જાય. આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ જાનહાની અને મહામંદી લાવે છે જે કોઈ દેશ પોતાના નાગરિકો માટે ક્યારેય ન ઈચ્છે. માટે કોઈએ ટ્રમ્પનો સાથ ન આપ્યો અને જગત જમાદાર એકલા પડી ગયા. અને છેલ્લે... જ્યારે અમેરિકા ઈરાન પર ડ્રોન અને મિસાઈલ્સનો મારો ચલાવી રહ્યું છે ત્યારે વોશિંગ્ટનમાં અમેરિકન સેનાના એક મહત્વપૂર્ણ બેઝ ફોર્ટ લેસ્લી મેકનેયર ઉપર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ એ જ બેઝ છે જ્યાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથ રહી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પ ગવર્નમેન્ટના ઘણા સિનિયર અધિકારીઓ પોતાના ઘરમાં નહીં પણ સૈન્ય ઠેકાણાઓમાં રહી રહ્યા છે. બંને મોટા અધિકારીઓ મામલે મોટી વાત એ છે કે હજુ સુધી તેમને બીજી જગ્યા પર શિફ્ટ નથી કરાયા અને તે હજુ પણ ત્યાં જ રહે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો:હવામાન વિભાગની આગાહી બાદ બાલાસિનોર પંથકમાં વરસાદ
મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજે કમોસમી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના બાલાસિનોર પંથકમાં સાંજના સમયે વરસાદનું આગમન થયું હતું. રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ તેની અસર જોવા મળી છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખેતરોમાં ઘઉં, ચણા, ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર છે. આવા સમયે વરસાદ વરસવાથી પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓ વધી છે.
વેરાવળ બંદર રોડ પર SOGની કાર્યવાહી:ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા 4 છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર રોડ પર ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOGએ આ ડ્રાઇવ દરમિયાન ચાર છકડા રીક્ષા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંદર રોડ અને સોમનાથ રોડ પર મચ્છી ભરેલા વાહનોમાંથી પાણી અને કચરો રસ્તા પર ઢોળાતો હતો. આના કારણે માર્ગ ચીકણો બની જતો હતો, જેના પરિણામે દૈનિક ધોરણે નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા અને રાહદારીઓ ઇજાગ્રસ્ત થતા હતા. આ સમસ્યા સ્થાનિક નાગરિકો માટે ચિંતાનો વિષય બની હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ટીમે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. SOG પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. રીનાબેન સુવા સહિતના પોલીસ સ્ટાફે બંદર રોડ પર આકસ્મિક ચેકિંગ કરીને ગેરકાયદેસર પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સુત્રાપાડા પ્રાચી વિસ્તારના સાગર નારણ રાજગોર, વેરાવળ ભીડીયા વિસ્તારના પ્રવીણ છગનભાઈ દરી, ગોવિંદપરા ગામના તોસિફ અબ્દુલ મુગલ અને ખારવાવાડ વિસ્તારના શૈલેષ ઈશ્વર પરમારને તેમની રીક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્રના આ કડક પગલાંને કારણે ગેરકાયદેસર પરિવહન કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ, લાંબા સમયથી આ સમસ્યાથી પીડાતા સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આવી ડ્રાઇવો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલીશન ઓપરેશન હાથ ધરી 1400થી વધુ કાચા-પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં ફરી ગેરકાયદે બાંધકામો શરૂ થયા હોવાની ફરિયાદો ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું છે. સોરઠીયા વે-બ્રીજથી કેદારનાથ સોસાયટી સુધીના 15 મીટરના નવા ડીપી રોડ માટે જગ્યા ખાલી કરાવવામાં આવી હતી, પરંતુ હજુ રોડનું કામ શરૂ નહીં થતા અમુક લોકોએ ફરી બાંધકામ શરૂ કર્યાનું સામે આવ્યું છે. તંત્ર અને સ્થાનિકોએ જણાવ્યા મુજબ જે આસામીઓના મકાનો અંશતઃ કપાયા હતા તેઓ પોતાની માલિકીની જગ્યામાં સમારકામ કરી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા નદીનાં પટ્ટ સહિતના વિસ્તારોમાં ખરાઇ કરવામાં આવી રહી છે. બીજી તરફ, આ જ વિસ્તારની 1.05 લાખ ચો.મીટર સરકારી જમીન ઉપરના 1358 મકાનોના ડિમોલીશનનો અન્ય મામલો ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં પેન્ડિંગ છે. હાઇકોર્ટના આદેશ મુજબ 90 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે ટ્રીબ્યુનલ ગમે ત્યારે પોતાનો ફેંસલો જાહેર કરશે. આ ચુકાદા પર અનેક પરિવારોની મીટ મંડાયેલી છે. ત્યારે કલેક્ટર તંત્ર માનવીય અભિગમ અપનાવશે કે તેમના દ્વારા ડિમોલીશનના આદેશ અપાય છે તે જોવું રહ્યું. રાજકોટ - જાફરાબાદ રૂટની નવી ગુર્જરનગરી બસને MLA ટીલાળાએ લીલીઝંડી આપી રાજકોટ એસટી વિભાગ દ્વારા આજથી રાજકોટ-જાફરાબાદ રૂટની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સર્વિસનું લોકાર્પણ આજે 19 માર્ચના સવારે ધારાસભ્ય રમેશ ટીલાળાનાં હસ્તે બસ પોર્ટ ખાતે કરવામાં આવેલ હતું.આ અંગે વધુ વિગતો આપતા રાજકોટ એસટી વિભાગનાં ડેપો મેનેજર (વોલ્વો) ઠુંમરે જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજે તા.19/3 ગુરૂવારના રોજ રાજકોટ- જાફરાબાદ રૂટ પર નવીન ગુર્જરીનગરી સર્વીસ શરૂ કરવામાં આવી છે. બસ વાયા સરધાર, આટકોટ, બાબરા, ચીતલ, અમરેલી, સાવરકુંડલા, રાજુલા થઈ ચાલશે. જેનું ભાડુ રૂ. 205 રહેશે. રાજકોટથી આ બસ સવારે 5 કલાકે ઉપડશે અને જાફરાબાદથી બપોરે 2.30 કલાકે ઉપડશે. રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું હવે નવીનીકરણ નહીં, રૂ. 8 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાશે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક અને હેરીટેજ મિલ્કત સમાન સર લાખાજીરાજ શાક માર્કેટના નવનિર્માણની યોજનામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ માર્કેટના નવીનીકરણની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સુરક્ષા અને વેપારીઓના હિતને ધ્યાને રાખીને માત્ર જરૂરી રિપેરિંગ અને જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લેવાયો છે. 2025-26 ના બજેટમાં આ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને હોકર્સ ઝોન બનાવવા માટે રૂ. 5.63 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. સ્થાનિક થડાધારકોએ પોતાની મૂળ જગ્યા ગુમાવવાના ડરથી આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. કન્સલ્ટન્ટના રિપોર્ટ મુજબ માર્કેટનું સ્ટ્રક્ચર મજબૂત હોવાથી હવે સંપૂર્ણ તોડી પાડવાને બદલે જર્જરિત ભાગોના સમારકામ પર ભાર મૂકવામાં આવશે. આ જીર્ણોદ્ધાર પાછળ અંદાજે રૂ. 8 કરોડનો ખર્ચ થશે, જેના માટે મનપાની બાંધકામ શાખા ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્ધ કરશે. હાલ સુરક્ષાના કારણોસર કેટલાક જોખમી થડા ખાલી કરાવીને સીલ મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રૂડાનગર-3માં વર્ષીથી પાણીની પારાયણ, રહેવાસીઓ દ્વારા ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી રાજકોટના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલી રૂડાનગર-3 સોસાયટીના રહેવાસીઓ છેલ્લા 7 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના નળ કનેક્શન માટે વલખાં મારી રહ્યા છે. વર્ષ 2019માં રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થયો હોવા છતાં અને તમામ વેરા નિયમિત ભરતા હોવા છતાં અહીં હજુ સુધી પીવાના પાણીની લાઈન નંખાઈ નથી. ઉનાળાની આકરી ગરમીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા પ્લોટ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પાણી ઉપરાંત રસ્તા, ગટર અને કચરાના નિકાલ જેવી પાયાની સુવિધાઓનાં અભાવથી કંટાળેલા લતાવાસીઓએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. એસોસીએશનના પ્રમુખ દાદુભાઈ બોરીચા અને અન્ય હોદ્દેદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. આ સાથે જ રહેવાસીઓએ રસ્તા રોકો આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે.
પાટણ સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા 4 એકાઉન્ટ ધારકો સામે ગુનો દાખલ કર્યો છે. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝીલીયા ગામે થયેલા હુમલા બાદ બંને પક્ષો દ્વારા આક્રમક લખાણ અને ભડકાઉ સંગીત સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનાનો મૂળ 15 માર્ચ, 2026 ના રોજ રાત્રિના સમયે ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે બનેલી ઘટનામાં છે. ભાવેશ બળદેવ દેસાઇના ફાર્મહાઉસ પર આશરે 15 થી 20 ગાડીઓમાં આવેલા શખસોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ ટોળાએ પોલીસ, સરકારી વાહન અને ફાર્મહાઉસને નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ઝીલીયા ગામના આ હુમલા બાદ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બંને પક્ષના સમર્થકો દ્વારા એકબીજા પ્રત્યે ધિક્કાર અને દ્વેષની લાગણી ફેલાવતી પોસ્ટ અને રીલ્સ વાયરલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન આ ભડકાઉ પોસ્ટ્સ શોધી કાઢી હતી. જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતા 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 196 અને 353 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ આર.જી. ઉનાગર, સાયબર ક્રાઇમ પીઆઈ એચ.ડી. મકવાણા અને તેમની ટીમ સામેલ હતી. સાયબર પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર, ભડકાઉ કે અફવા ફેલાવતી પોસ્ટ કરવામાં આવશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મોરબીમાં ઘાસના જથ્થામાં આગ લાગી:ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી
મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલી ઉમા વિલેજ સોસાયટી નજીક ઘાસના જથ્થામાં સાંજના સમયે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. મહેન્દ્રનગર ગામથી હળવદ તરફ જતા રસ્તા પર આ ઘાસનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આગ લાગી તે સમયે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ઘાસનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. બાજુમાં સોસાયટી વિસ્તાર હોવાથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચાલુ વીજ લાઇન તૂટીને ઘાસના જથ્થા પર પડવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે. સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી વધુ નુકસાન અટકાવી શકાયું હતું, જોકે ઘાસનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
મોરબી જિલ્લામાં ગુરુવારે બપોરે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. આના કારણે સિરામિક સહિતના અનેક કારખાનાઓના શેડના પતરા ઉડી ગયા હતા, જેનાથી કારખાનેદારોને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, ગેસના અભાવે સિરામિક કારખાનાઓ બંધ હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, બપોરે ચાર વાગ્યાના અરસામાં અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ભારે પવનના કારણે હાઈવે રોડ સહિતની વિવિધ જગ્યાઓ પર તોતિંગ વૃક્ષો અને હોર્ડિંગ બોર્ડ પણ તૂટી પડ્યા હતા. ખાસ કરીને સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. મોરબીના જાંબુડિયા રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, લગધીરપુર રોડ, હળવદ રોડ, પીપળી રોડ અને માળિયા રોડ પર આવેલા સિરામિક કારખાનાઓના મોટા શેડમાંથી અનેક જગ્યાએ પતરા ઉડી ગયા હતા. આનાથી કારખાનેદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, ગેસ ન મળવાના કારણે સિરામિક કારખાનેદારોએ બે દિવસ પહેલા જ મીટિંગ કરીને સામૂહિક રીતે એક મહિના સુધી કારખાના બંધ રાખી મેન્ટેનન્સ કરવાનું આયોજન કર્યું હતું. આ કારણે કારખાનામાં શ્રમિકો કામ કરતા ન હોવાથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સિરામિક કારખાનાઓ ઉપરાંત, અન્ય ઉદ્યોગોના કારખાનાઓમાં પણ શેડના પતરા તૂટી જવાના કારણે કારખાનેદારોને નુકસાન થયું છે.
સુરતના અડાજણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક્ટિવા પર જઈ રહેલા 23 વર્ષીય શશાંક પટેલને મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે દબોચી લીધો છે. પકડાયેલા આરોપી શશાંક માત્ર 23 વર્ષની ઉંમરે હત્યા, મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બાતમીના આધારે અડાજણ હેલ્થ સેન્ટર પાસે રેડઅડાજણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શાંતિકુંજ ગાર્ડન પાસે એક શખસ એક્ટિવા પર ડ્રગ્સનું વેચાણ કરવા માટે પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે કોર્ડન ગોઠવ્યું હતું. ત્યારે GJ-05-HW-0549 નંબરના એક્ટિવા સાથે પસાર થઈ રહેલા શશાંક પટેલને પોલીસે અટકાવ્યો હતો. તેની અંગઝડતી લેતા તેની પાસેથી 2.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. 23 વર્ષનો આરોપી શશાંક હત્યા અને હુમલાનો ગુનેગારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપી શશાંક ચંદ્રવદન પટેલ (રહે. રામનગર, રાંદેર) રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યા (IPC 302) નો ગુનો નોંધાઈ ચુક્યો છે. આ ઉપરાંત અડાજણ અને પાલ પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જી.પી. એક્ટ હેઠળના ગુનાઓ દાખલ થયેલા છે. તે સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ પણ હતો. ડ્રગ્સ સપ્લાય કરનારા અન્ય બે વોન્ટેડ જાહેરપોલીસની પ્રાથમિક પૂછપરછમાં અન્ય બે નામો પણ સામે આવ્યા છે. શશાંક પટેલને ડ્રગ્સ પૂરું પાડનાર અથવા આ નેટવર્કમાં સામેલ પ્રતીક ડાભી અને અમરોલી કોસાડ આવાસમાં રહેતા દાનેશ નામના શખસોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ હવે આ બંને શખસોના મૂળ રહેઠાણ અને તેમના નેટવર્ક સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કુલ 54,450નો મુદ્દામાલ જપ્ત કરાયોઅડાજણ પોલીસે આ કાર્યવાહીમાં આરોપી પાસેથી ડ્રગ્સ સહિત અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. જેમાં મેફેડ્રોન ડ્રગ્સ (2.45 ગ્રામ)-કિંમત 7,450, એક્ટિવા મોપેડ- કિંમત 40,000, મોબાઈલ ફોન-કિંમત 7,000 મળી પોલીસે કુલ 54,450 નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ડ્રગ્સ નેટવર્ક તોડવા પોલીસ એક્શનમાંશહેરના યુવાધનને નશાના રવાડે ચઢાવતા તત્વો સામે સુરત પોલીસ કડક વલણ અપનાવી રહી છે. ધોરણ 10 સુધી ભણેલો શશાંક પટેલ નાની ઉંમરે ગુનાખોરીની દુનિયામાં કેવી રીતે પ્રવેશ્યો અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
રાજ્ય સહિત દેશમાં બેરોજગારીની સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ચૂંટણી સમયે સરકારમાં આવવા બે કરોડ રોજગારી આપવાની ભાજપે જાહેરાત કરી હતી પરંતુ તે આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ પણ કોંગ્રેસે જાહેર કર્યો છે. ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર વિવિધ પદો પર ભરતી જાહેર કરી યુવાઓને રોજગાર આપવામાં આવે તેવી કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. 67 ટકા ગ્રેજ્યુએટ બેરોજગાર રહેતા હોવાનો કોંગ્રેસનો દાવોઅઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ જાહેર કરી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 2004થી 2023 દરમિયાન દર વર્ષે 50 લાખ જેટલા નવા ગ્રેજ્યુએટ થાય છે. જેની સામે રોજગાર 28 લાખ જેટલા લોકોને જ મળે છે અને 17 લાખ લોકોને પગારદાર નોકરી મળતી નથી. 67 ટકા જેટલા ગ્રેજ્યુએટને યોગ્ય નોકરી ન મળતી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં બેરોજગાર યુવાનોમાં 67 ટકા ગેજ્યુએટ, 19થી 25 વર્ષના સ્નાતક શિક્ષિત બેરોજગારની સંખ્યા 39.33 ટકા, 25થી 29 વર્ષના સ્નાતક શિક્ષિત બેરોજગારની સંખ્યા 20 ટકા હોવાનું સામે આવ્યું છે. તેમજ લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા યુવાનોની આશા તૂટી જાય છે. જેથી કોંગ્રેસે માંગ કરી છે કે, ગુજરાતમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે અને વસ્તીના પ્રમાણમાં મહેકમમાં વધારો કરી ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં આવે તેવી કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 20 વર્ષમાં જે સ્નાતક બહાર પાડે છે તેની રોજગારીની તકોનો અહેવાલ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં 67 ટકા ગ્રેજ્યુએટને નોકરી મળતી નથી. શિક્ષણ તો મેળવે છે પરંતુ શિક્ષણના આધારે જે નોકરી મળવી જોઈએ તે તકથી વંચિત રહી જાય છે. 2017 પછી સતત નોકરીની તક ઘટી રહી છે. ચૂંટણી સમયે મોદી સરકારે સપ્તાહમાં આવવા માટે દર વર્ષે બે કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું. છેલ્લા 11 વર્ષમાં 22 કરોડ રોજગાર મળવા જોઈએ તેના બદલે લોકોના રોજગાર છીનવાઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથામાંથી ગુજરાતના યુવાનોને મુક્ત કરો- મનીષ દોશીવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ થઇ રહ્યું છે. બે લાખ કરતા વધુ જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડી છે. તેમજ કોન્ટ્રાક્ટના નામે શોષણ થઇ રહ્યું છે. ગુજરાતમાં 2.70 લાખ જેટલા બેરોજગાર શિક્ષિત લોકો નોંધાયા છે. LRD સહિતની ભરતીમાં 21 લાખ સુધી અરજી નોંધાય છે. એટલે કે ગુજરાતમાં 25 લાખ લોકો બેરોજગાર હોવાનો આંકડો ચિંતાજનક છે. ઇજનેરો અને ડોક્ટર માટે નોકરીની તક ઘટી રહી છે. પગાર મળે છે તેનાથી પોતાના પરિવારનું રોજગાર પણ ચલાવી શકતા નથી. મહેકમમાં પણ બે લાખ કરતા વધુ પદો ખાલી પડ્યા છે. જેના કારણે નાગરિકોને ધક્કા ખાવા પડે છે. જેથી માંગ કરીએ છીએ કે સરકારમાં ખાલી પડેલા વિવિધ પદો પર કેલેન્ડરના નામે યુવાનો સાથે ચેડા કરવાનો સરકાર બંધ કરે. કોન્ટ્રાક્ટ પ્રથામાંથી ગુજરાતના યુવાનોને મુક્ત કરવામાં આવે અને રોજગાર સાથે ન્યાય આપવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ.
ગુજરાત પર બે દિવસ 'ભારે', સરકારે ખેડૂતો માટે માર્ગદર્શિકા કરી જાહેર, 9 તકેદારી રાખવા સૂચન
Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. 21 માર્ચ, 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ખેડૂતો માટે માર્ગદર્શિકા આ બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો. કુંભારવાડા પોલીસે ગાળાગાળી, ધમકી અને હથિયારોનો ઉપયોગ કરવા મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને હથિયારો વડે ઈજા પહોંચાડી ધમકી આપીપ્રથમ ફરિયાદમાં ફરિયાદી અરૂણ વાલજીભાઈ બથવાર (રહે. રામેશ્વર સોસાયટી, નાગેશ્વર મંદિર પાસે, વડોદરા) દ્વારા આપેલી ફરિયાદ મુજબ, ગત રાત્રે ગણેશનગર પાસે સચ્ચિદાનંદ દુકાન સામે રોડ પર કલ્પેશભાઈ પરમાર પેશાબ કરવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ તેમને રોક્યા હતા. આરોપીઓ સાગર અશોકભાઈ ચૌહાણ, પ્રકાશ ઉર્ફે હકો મહેશભાઈ ચૌહાણ, ચીરાગ લાલાભાઈ ચૌહાણ અને ધવલભાઈ રમેશભાઈ પરમાર (બધા રહે. તુલસીવાડી, સંજયનગર, વડોદરા) એ ફરિયાદીને ગંદી ગાળો બોલી, તલવાર-ગુપ્તી જેવા હથિયારોનો ઉપયોગ કરીને ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ મામલે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બંને પક્ષે ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયાઆ સાથે આ જ ઘટનાના થોડા કલાક બાદ સાગર અશોકભાઈ ચૌહાણ (રહે. તુલસીવાડી, સંજયનગર-01, વડોદરા)એ ફરિયાદ નોંધાવી હતી કે, અરૂણ વાલજીભાઈ બથવારે તેમને ફોન કરી બોલાવ્યા હતા અને તારા કાકા કલ્પેશભાઈ મારી દુકાન પાસે પેશાબ કરતા હતા તો તું વચ્ચે કેમ પડ્યો? એમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ અરૂણભાઈએ ફરિયાદીને ગંદી ગાળો બોલી, ફેટ પકડીને માર માર્યો હતો. તેમણે એક્ટિવા ચાવી સાથે રાખેલું નાનું ચપ્પુ ફરિયાદીની છાતીના ડાબા ભાગે મારી ઇજા પહોંચાડી હતી તથા માથા પર પણ માર માર્યો હતો. આ મામલે કુંભારવાડા પોલીસે બે અલગ અલગ ગુના નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બંને પક્ષે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ આક્રમક તેવર બતાવતા વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, જેમ વરસાદ પડે ત્યારે દેડકા બહાર આવે છે, તેવી જ રીતે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે જ કોંગ્રેસના નેતાઓ જનતાની વચ્ચે દેખાય છે. બાકીના સમયમાં કોંગ્રેસ પ્રજાના સુખ-દુઃખમાં ક્યાંય જોવા મળતી નથી. જગદીશ વિશ્વકર્માએ વિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે, ભારતની જનતાએ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને ઓળખી લીધી છે અને સતત ત્રણ વખત તેમને જાકારો આપ્યો છે. હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે આગામી 50 વર્ષ સુધી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર, કોંગ્રેસનો ક્યાંય મેળ પડવાનો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષ પાસે દેશના વિકાસનો કોઈ રોડમેપ નથી, તેઓ માત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાના એકમાત્ર એજન્ડા સાથે કામ કરી રહ્યા છે. આદિવાસી પટ્ટામાં યોજાયેલા આ સંમેલનમાં તેમણે આદિવાસીઓના વિકાસના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના લાંબા શાસન દરમિયાન આદિવાસી સમાજનો કોઈ જ વાસ્તવિક વિકાસ થયો નથી, માત્ર મતોની રાજનીતિ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સ્થિર સરકાર છે અને વિકાસના કામો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. આ ભવ્ય સંમેલનમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ખૂણેખૂણેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ કેસરિયા રંગે રંગાયું હતું અને આગામી ચૂંટણીઓ માટે ભાજપે મજબૂત રણશિંગુ ફૂંક્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં શિસ્તભંગ અને ગેરવર્તણૂકના મામલાઓમાં જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે કડક કાર્યવાહી કરી છે. એક મહિલા સહિત કુલ ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચિઠોડા પોલીસ સ્ટેશન ખાતે એક આરોપી લોકઅપ ખોલીને ફરાર થઈ ગયો હતો. આ ગંભીર બેદરકારીના મામલે બે પોલીસકર્મીઓ, જેમાં એક મહિલા પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે, તેમને સસ્પેન્ડ કરાયા છે. આ ઘટનામાં કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત, હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ કોન્સ્ટેબલ પર ધાંગધ્રાના એક તબીબને NDPS કેસમાં ફસાવવાની ધમકી આપી સમાધાનના બહાને નાણાંની માંગણી કરનાર ટોળકીમાં સામેલ હોવાનો આરોપ છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ પણ થઈ હતી. આ સમગ્ર મામલાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી ત્રણેય પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, ચિઠોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમણભાઈ જીવાજી બુવળ અને મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન કાનજીભાઈ ડોડીયારનો સમાવેશ થાય છે.
Pakistan to Join Iran-Saudi War? : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 20 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં નવો ખતરનાક વળાંક આવ્યો છે. હવે આ યુદ્ધમાં ઊર્જા ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આક્રમક બનેલા ઈરાનના કારણે કતાર, સંયુક્ત આરબ અમીરાત સહિત સાઉદી અરેબિયા પણ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી ઉભી થઈ છે કે, જો સાઉદી અરેબિયા યુદ્ધમાં એન્ટ્રી કરશે તો તે પાકિસ્તાનની સેનાની મદદ લઈ શકે છે. ઈરાને હુમલો કરતા સાઉદી અરેબિયા ભડક્યું
ભાવનગર શહેરના અડોડિયા વિસ્તારમાં બે દિવસ પૂર્વે ક્રિકેટ રમવા બાબતે સર્જાયેલી જુથ અથડામણ સંદર્ભે ઘોઘારોડ પોલીસ મથકમાં બંને પક્ષોએ મળી કુલ 22 શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં તમામ શખસોને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે. બોલાચાલી બાદ બન્ને પક્ષે સામસામે પથ્થરમારોઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથેકથી મળતી માહિતી અનુસાર બે દિવસ પૂર્વે સાંજના સમયે ભાવનગર શહેરના તિલકનગરના આડોડીયા વિસ્તારમાં રોડ પર ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું, બોલાચાલી બાદ બન્ને પક્ષે સામસામે પથ્થરમારો થતા 3 મહિલાઓને ઇજાઓ પહોંચી હતી, આ ઉપરાંત મકાનમાં અને રિક્ષામાં પણ તોડફોડ કરાઈ હતી. 22 શખસોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યાબનાવ અંગે બંને જૂથ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાઓ અને પુરુષો મળી 22 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ ગણતરીના દિવસોમાં ઘોઘારોડ પોલીસે આ બનાવના તમામ 22 શખસોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ગાંધીનગરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આજે કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્ષ 2026-27ના આગામી નાણાકીય વર્ષ માટે કુલ 363 વિકાસલક્ષી કાર્યોનું માળખું તૈયાર કરી તેને બહાલી આપવામાં આવી હતી. આ આયોજન હેઠળ જિલ્લાના વિવિધ ક્ષેત્રો માટે 934 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રીની વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઆ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, જનહિતના કાર્યોમાં વહીવટી શિથિલતા કે નાની ટેકનિકલ ખામીઓને કારણે વિલંબ સહન કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈ પણ સરકારી પ્રક્રિયામાં આવતી તકનીકી એરર સામાન્ય જનતાના વિકાસ આડે અવરોધ ન બનવી જોઈએ. શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોડ-રસ્તાના કામો પર ધ્યાન કેન્દ્રિતતેમણે અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને તમામ પ્રકલ્પો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વિકાસની ગતિને વેગ આપવા તેમણે આદેશ આપ્યા હતા. આ આયોજન અંતર્ગત ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોડ-રસ્તા અને ગંદા વસવાટોના સુધારણા જેવા પાયાના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 934 લાખની ફાળવણી સાથે 363 કામોને મંજૂરી જે અન્વયે કુલ 950 લાખના સૂચિત કામોમાંથી 934.23 લાખની ફાળવણી સાથે 363 કામોને મંજૂરી અપાઈ છે. જેમાં તાલુકા કક્ષાની વિવેકાધીન ગ્રાન્ટ, ખાસ અંગભૂત યોજના અને નગરપાલિકા કક્ષાની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના મહીધરપુરા પોલીસ મથક વિસ્તારમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલાએ ઉતરાણમાં રહેતા યુવક પાસેથી 10% ના વ્યાજે 50,000 રૂપિયા લીધા હતા. જોકે ત્યારબાદ યુવકે તેમની પાસેથી વ્યાજ તથા મુદ્દલ રકમ મળી કુલ 1.55 લાખ વસૂલી લીધા બાદ પણ ખોટી રીતે બે લાખનો ચેક વટાવી વધારે નાણાંની ઉઘરાણી કરી બીજા 50,000 ની માંગણી કરી હતી અને જેના માટે અવારનવાર ધાક ધમકી આપતા આખરે ભોગ બનનાર સફાઈ કર્મચારી મહિલાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા સફાઈ કર્મચારી પાસેથી માસિક 10 ટકા વ્યાજની વસૂલાતબનાવની વિગત એવી છે કે સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી લલીતાબેન નામની મહિલાએ બે વર્ષ પહેલા ઉતરાણ રેલવે સ્ટેશન પાસે આવેલ રીધમ રેસીડેન્સીમાં રહેતા ભાવેશભાઈ દિનેશભાઈ ઝા પાસે 10% ના વ્યાજે રૂપિયા 50,000 લીધા હતા. જો કે જે તે સમયે ભાવેશભાઈએ વ્યાજના એડવાન્સમાં રૂપિયા 5,000 કાપી લીધા હતા અને દર માસનો હપ્તો રૂપિયો 10,000 નક્કી કરી સમયે નિયમિત સમયે આપતો નક્કી કરી 15 મહિના સુધી કુલ રૂપિયા 1.55 લાખ મેળવી લીધા હતા. તેઓએ પોતાની પાસે સિક્યુરિટી પેટે બળજબરી પૂર્વક લખાવેલ સહીવાળા ચેકમાં રૂપિયા બે લાખની રકમ ભરી તેને પાસ કરવાની માટે બેંકમાં નાખી દીધો હતો અને ત્યારબાદ ચેક પરત થતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લલિતાબેનને નોટિસ મોકલી હતી અને અવારનવાર ઉઘરાણું કરવા આવી તેઓને 10% ના વ્યાજ દર રૂપિયા 50,000 ચૂકવવાના બાકી છે તેમ કહીને ધમકી આપતા હતા. જેથી આખરે ભોગ બનનાર લલીતાબેને આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વેડરોડમાં રૂપિયાની વસૂલી માટે વ્યાજખોરોએ યુવકને ચપ્પુ બતાવ્યુંશહેરના ચોક બજાર વિસ્તારમાં વેડ રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા યુવકે વેડ રોડ ઉપર રહેતા અન્ય યુવક પાસેથી 10% ના વ્યાજે 20,000 રૂપિયા ઉછીના લીધા હતા. જોકે તેમનો સમયસર વ્યાજ પણ ચૂકવી આપતાં હતો. પરંતુ યુવક પાસે ટૂંક સમય માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તેમણે ચાર મહિનાનો સમય માંગ્યો હતો પરંતુ વ્યાજખોર ઈસમે તેમને સમય નહીં આપી એલ ફેલ ગાળો આપી ધાક ધમકી આપી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે વેડરોડ પર અખંડ આનંદ કોલેજ ની પાસે ત્રિવેણી સોસાયટીમાં આવેલ વિનાયક વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા આયુષ પરફેક્ટ ટમાટર ઉર્ફે કાળીયો વિનોદભાઈ બાજીરાવ ભાઈ ચૌધરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જુન 2025 માં તેમને પૈસાની જરૂર પડતા તેઓએ વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ ની સામે ત્રિલોક સોસાયટીમાં રહેતા પ્રીત ઉર્ફે ભીમ ઉર્ફે પિયુષ ખીમજીભાઈ સોસા પાસેથી 10% ના વ્યાજે 20,000 રૂપિયા લીધા હતા. જોકે ત્યારબાદ આયુષે જુલાઈ 2025 થી ડિસેમ્બર 2025 સુધી દર મહિને 10% ના લેખે કુલ રૂપિયા 12,000 વ્યાજ આપ્યું હતું. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ચાર મહિનાના સમયની માંગણી કરી હતી પરંતુ પ્રીત ઉર્ફે ભીમે ચાર મહિનાના સમય આપવાને બદલે તારે દર મહિને વ્યાજ તો બરાબર ચૂકવવું જ પડશે તેવું કરીને તેમને ધમકી આપી હતી અને ત્યારબાદ અવારનવાર એલફેલ ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. આ ઉપરાંત તેમની સાથે અંકિત અનિલભાઈ ઠાકોર (રહે રાંદલ પાર્ક એપાર્ટમેન્ટ વિશ્રામ નગર સોસાયટી અખંડ આનંદ કોલેજ ની સામે વેડ રોડ) પણ આયુષ પાસે આવી ત્યારે સમયસર વ્યાજે રૂપિયા ચૂકવવા પડે તેમ કહીને તેમણે પણ ગાળો આપી હતી. થોડા દિવસ પહેલા પ્રીત ઉર્ફે ભીમે તેમના ઘર પાસે આવી મુદ્દલ રકમની માંગણી સાથે વ્યાજના રૂપિયા 9,000ની માંગણી કરી હતી અને જો તું બે દિવસમાં તમામ પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખીશ તેમ કહીને ચપ્પુ બતાવી ધમકી આપી હતી. જેથી આખરે આયુષે આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસર પર નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ આજથી શરૂ થયો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર જાગરણ, વિશ્વ કલ્યાણ, દુષ્ટ પ્રવૃત્તિઓનું ઉન્મૂલન અને સદપ્રવૃત્તિઓનું સંવર્ધન કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન દરરોજ ગાયત્રી ચાલીસાનું પાઠ અને ગાયત્રી મંત્રના જાપ સાથે તપ તથા સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવ દિવસીય અનુષ્ઠાનમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ નવરાત્રિના અંતિમ દિવસે વિશેષ યજ્ઞ દ્વારા કરવામાં આવશે. આ યજ્ઞમાં રાષ્ટ્રના કલ્યાણ માટે આહુતિઓ અર્પણ કરાશે. રાષ્ટ્રની સમૃદ્ધિ, શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના સાથે કાર્યક્રમ સંપન્ન થશે. આયોજનકર્તાઓએ જણાવ્યું કે, આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સકારાત્મકતા ફેલાવવા અને માનવ મૂલ્યોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે.
પાટણ યુનિવર્સિટી ખાતે 23મા ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહનો પ્રારંભ થયો છે. આ સમારોહનું આયોજન છેલ્લા 23 વર્ષથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો સંસ્કૃત વિભાગ પ્રતિવર્ષ કરે છે. સમારોહના મુખ્ય વક્તા અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલે રામાયણને ભારતીય જીવન મૂલ્યોનો પાઠ ગણાવ્યો હતો. પ્રોફેસર નિરંજન પટેલે તપસ્વી નાંદી આઠમી વ્યાખ્યાનમાળા અંતર્ગત રામાયણને કેન્દ્રમાં રાખીને વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે અહલ્યાના પ્રસંગને નવી રીતે સમજાવતા કહ્યું કે, રામે પથ્થરને સ્પર્શ કરવાથી અહલ્યા બની એમ નહીં, પરંતુ રામે ન ખેડાયેલી જમીનને સુધારી ખેતીલાયક બનાવી હતી. આવા અનેક ઉદાહરણો સાથે તેમણે પોતાના વ્યાખ્યાનને રસમય બનાવ્યું હતું અને ઉપસ્થિત અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમારોહના અધ્યક્ષ પ્રોફેસર કે.સી. પોરિયાએ ભારતીય જ્ઞાન પરંપરાની આવશ્યકતા પર ભાર મૂકીને વર્તમાન સ્થિતિ અને પરંપરાગત ભારતીય જ્ઞાનના સંયોગની વાત રજૂ કરી હતી. ઉદયપુરથી આવેલા અતિથિ વિશેષ ડૉ. નીરજ શર્માએ મણિભાઈ વ્યાખ્યાનમાળાના ભાગ રૂપે વૈદિક કૃષિ વિશે વાત કરી હતી. વારાણસીથી આવેલા પાલી, પ્રાકૃત અને સંસ્કૃતના વિદ્વાન રામાનાથ પાંડેએ ભારતીય ભાષાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કુલસચિવ રોહિત દેસાઈએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સેમિનારમાં પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર આઠ વિદ્યાર્થીઓને જયજીત ફેલોશિપ અંતર્ગત રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાજ્યમાં સંસ્કૃતના બે અધ્યાપકો, પાટણના સંસ્કૃત વિભાગના ડૉ. દિલીપ પટેલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજાભાઈ કાથડને ICSSR, નવી દિલ્હીથી રિસર્ચ પ્રોજેક્ટ માટે અનુદાન મેળવવા બદલ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. દેવસિંહ બી. રાઠવા દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય સેમિનાર હજુ બે દિવસ ચાલશે, જેમાં અંદાજે 180 જેટલા લોકો ભાગ લેશે.
સુરતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ:સહારા દરવાજા ગરનાળામાં ગટરના ગંદા પાણીની રેલમછેલ, વાહનચાલકો ત્રસ્ત
સુરત શહેર સ્માર્ટ સિટી અને સ્વચ્છતા માટે દેશભરમાં જાણીતું છે, ત્યાં આજે એક વિરોધાભાસી ચિત્ર જોવા મળી રહ્યું છે. અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને સૂર્યનારાયણ આકરા તપી રહ્યા છે. લોકો ઉનાળાની ગરમીથી બચવા ઠંડા પીણા અને એસીનો સહારો લઈ રહ્યા છે પરંતુ, સુરતના મધ્ય વિસ્તાર ગણાતા સાહિરા દરવાજા વિસ્તારમાં જાવ તો તમને એવું લાગશે કે અહીં ચોમાસું બેસી ગયું છે. અનેક વાહનચાલકો ગટરીયા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતારસ્તાઓ પર વરસાદી પાણી નહીં પણ ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. સારા દરવાજા ગરનાળામાં (અંડરપાસ) સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને મેઈન્ટેનન્સના દાવાઓની પોલ ખોલી નાખી છે. સહારા દરવાજા વિસ્તારમાં આવેલી મુખ્ય ગટર લાઈનમાં ઉભરાઈ હતી. ગટરમાંથી સતત વહેતું ગંદુ પાણી ગરનાળા (અંડરપાસ)માં પ્રવેશી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે, ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. પાણી જ ભરાઈ જતા અનેક વાહનચાલકો ગટરીયા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. ગરનાળામાં પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છેસુરતની ઓળખ તેની ટેક્સટાઈલ માર્કેટ છે. સાહારા દરવાજા વિસ્તારમાં એશિયાની સૌથી મોટી ગણાતી ટેક્સટાઈલ માર્કેટના પ્રવેશ દ્વારથી દરરોજ હજારો વેપારીઓ, ગ્રાહકો, મજૂરો અને ટેમ્પો ચાલકો આ ગરનાળામાંથી પસાર થાય છે. ગરનાળામાં ગંદા પાણી ભરાવાને કારણે માલ ભરીને જતા ટેમ્પો અને રિક્ષાઓ જાય છે. ગરનાળામાં પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. પીક અવર્સમાં અહીં ટ્રાફિક જામ સર્જાય છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જાણીતી ગોકુળ બેકરી એન્ડ લાઈવ કેક શોપ તથા ગોકુળ ફરસાણની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. ગત તા. 17 માર્ચના રોજ મધરાતે તસ્કરોએ 72 મિનિટમાં આ બંને દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેકરીના કાઉન્ટરમાંથી 1,81,000 અને ફરસાણની દુકાનમાંથી 5,000 મળી કુલ 1,86,000 ની રોકડ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મધરાતે 2:33થી 3:45 વચ્ચે ચોરીનો ખેલાયો ખેલપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીની ઘટના મધરાતે 2:33 વાગ્યાથી 3:45 વાગ્યા દરમિયાન બની હતી. તસ્કરોએ 1 કલાક કરતા વધુ સમય સુધી દુકાનમાં રોકાઈને આરામથી ચોરીને અંજામ આપ્યો હતો. ઉધના ગાયત્રી સોસાયટી, પ્લોટ નંબર 88 અને 99 સ્થિત આ બંને દુકાનોમાં તસ્કરોએ કોઈ સાધન વડે શટર તોડ્યા હોવાનું સામે આવ્યું છે. ચોર આરામથી બેસીને આખી દુકાન ચેક કરતા હતાદુકાનમાં લાગેલા CCTV કેમેરામાં ચોરીની સમગ્ર લાઈવ ઘટના કેદ થઈ હતી. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ત્રણ શખસો પૈકી એક ચોર દુકાનની બહાર ઊભો રહીને ધ્યાન રાખતો હતો. જ્યારે બાકીના બે તસ્કરો દુકાનની અંદર જઈ આરામથી બેસીને પહેલા આખી દુકાન જોઈ લેતા હતા અને ત્યારબાદ ચોરી કરતા હતા. તેઓ વારંવાર એક જગ્યાએ બેસતા પણ નજરે પડ્યા હતા. ઉધના સર્વેલન્સ અને ક્રાઈમ બ્રાંચને મળી સફળતાઘટનાની ગંભીરતા જોઈને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કુલ 5 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવાનો સંકેત આપવામાં આવ્યો છે. પાંચેય આરોપીઓની ધરપકડ આ તમામ આરોપીઓ હાલ સુરતના કતારગામ અને વેડરોડ વિસ્તારમાં ભાડે રહેતા હોવાનું સામે આવ્યું છે. રોકડ સહિત કુલ 87,800ની મત્તા કબજેઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ (કિંમત 30,000), રેડમી મોબાઈલ (કિંમત 5,000) અને ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડ રકમ પૈકી 52,800 રિકવર કર્યા છે. આમ, કુલ 87,800 ની મત્તાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. બાકીની રકમ અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરીને તપાસને વેગવંતી બનાવી દીધી છે. ડેનીશ સામે 17 અને ભગીરથ સામે 4 ગુનાઝડપાયેલા આરોપીઓ પૈકી ડેનીશ ઉર્ફે ડેનીયો સામે હત્યા, લૂંટ અને ચોરી જેવા 17 જેટલા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે. જ્યારે ભગીરથ મકવાણા સામે કતારગામ અને અડાજણ સહિતના પોલીસ સ્ટેશનોમાં 4 ગુના નોંધાયેલ છે. આ આરોપીઓ અગાઉ 'પાસા' હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે તેઓ રીઢા ગુનેગારો છે. BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલઉધના પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 305(A), 331(4), 3(5) મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવી પણ શક્યતા છે કે આ ટોળકીએ અગાઉ પણ શહેરમાં અન્ય કોઈ વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોય. ટૂંક સમયમાં પોલીસ રિમાન્ડ મેળવીને વધુ તપાસ કરવામાં આવશે.
સુરેન્દ્રનગર ગુરુકુલમાં બ્રહ્મ મહોત્સવનું આયોજન:ચૈત્ર સુદ પડવાથી નવમી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બ્રહ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સંસ્થાનની આ શાખામાં ચૈત્ર સુદ પડવાથી ચૈત્ર સુદ નોમ સુધી, એટલે કે 19 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુરુવર્ય દેવ કૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને મહંત સ્વામીની પ્રેરણાથી આ મહોત્સવ અંતર્ગત જપ, તપ, ઝૂલા અને યજ્ઞ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ નવ દિવસ દરમિયાન 25 કુંડી જલયાગ કરવામાં આવશે. દરરોજ સવાર-સાંજ પારણીયામાં ઠાકોરજીનું પૂજન થશે. કીર્તન ભક્તિ અને પ્રભાતફેરીનું પણ આયોજન કરાયું છે. સુરેન્દ્રનગર અને આસપાસના ગામડાઓમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ આયોજનમાં ગુરુકુલના તમામ બાળકો, કર્મચારીઓ તેમજ ગુરુકુલ પરિવારના સત્સંગી ભાઈ-બહેનો અને બાળકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
લીવ ઓન કેશ કૌભાંડમાં સરકાર સખત:અધિકારીઓ સામે કાર્યવાહી, 31 માર્ચ સુધી રકમ પરત આપવા અલ્ટીમેટમ
રાજ્યના સરકારી દવાખાનાઓમાં આઉટસોર્સિંગ મારફતે કામ કરતા કર્મચારીઓના લીવ ઓન કેશના નાણાંમાં ગેરરીતિ સામે આવ્યા બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એકશનમાં આવ્યું છે. ભાવનગર અને દાહોદ જિલ્લામાં આ મામલે ગંભીર આક્ષેપો થયા બાદ વિભાગે તાત્કાલિક પગલાં લેતા ભાવનગરના તત્કાલિન વિભાગીય નાયબ નિયામક હરેશ વાળાનો ચાર્જ હટાવી ડો. કલ્પનાબેન ચૌહાણને જવાબદારી સોંપી છે. જ્યારે ભાવનગરના સીડીએચઓ ચંદ્રમણીકુમારની પોરબંદર બદલી કરી દેવામાં આવી છે. દાહોદના CDHO ઉદય ટીલાવત વિરુદ્ધ પણ તપાસના આદેશ અપાયા છે. લીવ ઓન કેશના પૈસા એજન્સીઓને ચુકવી ગેરરીતિ આચરીઆ કેસમાં આક્ષેપ છે કે, કેટલાક અધિકારીઓએ આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે સાંઠગાંઠ કરી કર્મચારીઓને મળવાના લીવ ઓન કેશના પૈસા એજન્સીઓને ચુકવી ગેરરીતિ આચરી છે. સમગ્ર મામલે રાજકોટ અને વડોદરા વિભાગીય નાયબ નિયામકોને અલગ-અલગ તપાસ સોંપવામાં આવી છે. વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવામાં મદદ મળશેગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે સરકારની કાર્યવાહીનું સ્વાગત કરતા જણાવ્યું કે, આ પગલાંથી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવામાં મદદ મળશે. આ સાથે જ તેમણે અન્ય જિલ્લાઓના અધિકારીઓને ચેતવણી આપતા 31 માર્ચ સુધીમાં ગેરરીતિથી ચૂકવાયેલા તમામ નાણાં એજન્સીઓ પાસેથી વસૂલ કરી કર્મચારીઓને ચૂકવવા અલ્ટીમેટમ આપ્યું છે. નહીં તો આગામી દિવસોમાં આવા અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવશે.
ચેક રિટર્ન કેસમાં સજા પામેલો આરોપી ઝડપાયો:અમદાવાદ કોર્ટના વોરંટ આધારે વિદ્યાનગર પોલીસે દબોચ્યો
વિદ્યાનગર પોલીસે ચેક રિટર્ન કેસમાં સજા પામેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ અમદાવાદ કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલા સજા વોરંટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદની ફેમિલી કોર્ટે આરોપી દર્શનદાન હિતેશદાન ગઢવી (રહે. બાકરોલ રોડ, આણંદ) વિરુદ્ધ 5 ફેબ્રુઆરી 2026 ના રોજ સજાનો હુકમ કર્યો હતો. વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ, હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ, કોન્સ્ટેબલ રાજનસિંહ અને ભરતભાઇ સહિતની ટીમે 18 માર્ચ 2026 ના રોજ આરોપી દર્શનદાન ગઢવીને બાકરોલ રોડ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રોફેસર હિતેન્દ્ર પટેલની વિશ્વવિખ્યાત 'રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી' (લંડન) ના માનદ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂક લંડન સ્થિત સંસ્થાના વેસ્ટ ઈન્ડિયા લોકલ સેક્શન (ભારત) માટે કરવામાં આવી છે. કેમિસ્ટ્રી ક્ષેત્રે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી આ સંસ્થા દ્વારા પશ્ચિમ ભારતના વિભાગ માટે પ્રોફેસર પટેલની પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિથી વલ્લભ વિદ્યાનગર અને સમગ્ર શૈક્ષણિક જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. સરદાર પટેલ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગમાં પ્રોફેસર પટેલ વર્ષોથી કાર્યરત છે. તેમની આંતરરાષ્ટ્રીય સ્તરની આ નિમણૂકથી આગામી સમયમાં કેમિકલ સાયન્સ અને સંશોધન ક્ષેત્રે પશ્ચિમ ભારતના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ અને માર્ગદર્શન મળશે.
નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નવસારી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ કમર કસી છે. બંને પક્ષોએ પોતાની વિજયી રણનીતિ ઘડવા માટે પ્રભારીઓ અને નિરીક્ષકોની નિમણૂક કરી છે. પ્રદેશ કોંગ્રેસે નવસારીમાં સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીમાં સારો દેખાવ કરવા અનુભવી નેતાઓને જવાબદારી સોંપી છે. જિલ્લા નિરીક્ષક તરીકે ધનસુખ રાજપુત અને અસલમ સાયકલવાળાની નિમણૂક કરાઈ છે. અસલમ સાયકલવાળાની નવસારી મુલાકાતોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો જોવા મળ્યો છે. ગણદેવી નગરપાલિકા અને ચીખલી માટે મેહુલ વશી, નવસારી-જલાલપોર તાલુકા માટે પવન મિશ્રા અને ખેરગામ માટે અનિલ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે પણ પોતાની તમામ બેઠકો જાળવી રાખવા વ્યૂહાત્મક તૈયારીઓ કરી છે. પક્ષે અશોક ધોરાજીયાને નવસારીની મહત્વની જવાબદારી સોંપી છે. ધોરાજીયા દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો બહોળો અનુભવ ધરાવે છે, જેમાં ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાની સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. તેમની સાથે સનમ પટેલ, પિયુષ પટેલ અને કરસન ટીલવાને પણ સહ-ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે, ભાજપે ચૂંટણી પ્રભારીઓની યાદી જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ તેને ડિલીટ કરી દીધી હતી. જોકે, યાદી પાછી ખેંચાયા છતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પર અશોક ધોરાજીયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારી લાંબા સમયથી ભાજપનો ગઢ મનાય છે. આ ગઢમાં ગાબડું પાડવું કોંગ્રેસ માટે મોટો પડકાર છે. ભાજપ સામે પોતાની સત્તા જાળવી રાખવાનો લક્ષ્યાંક છે, જ્યારે કોંગ્રેસે વધુ બેઠકો જીતવા માટે સઘન પ્રયાસો કરવા પડશે. આગામી દિવસોમાં નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ વધુ રોમાંચક બનશે.
બોટાદ જિલ્લામાં જોરદાર પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર જિલ્લામાં ભારે પવનનો અનુભવ થયો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. બોટાદ શહેરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. શહેરના વાડી વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ મળ્યા છે, જેના કારણે નુકસાન થયું છે. જિલ્લાના અન્ય વિસ્તારો જેવા કે ગઢડા, રાણપુર અને બરવાળામાં પણ જોરદાર પવન ફૂંકાયો હતો. આ વિસ્તારોમાં પણ પવનની તીવ્રતા ઘણી વધારે હતી. પાળીયાદમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગઢડામાં ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો, જેની સાથે વરસાદ પણ પડ્યો હતો.
પાટણ જિલ્લાના ઝીલિયા ગામે થયેલા ઘર્ષણ બાદ વામૈયાના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમનું વસ્ત્રાહરણ કરીને જાહેરમાં માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સહિતના જવાબદાર પોલીસકર્મીઓને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે. વામૈયા ખાતે રામબાઈ માતાના મંદિરે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો. સમાજના આગેવાનોએ આ ઘટનાને અમાનવીય ગણાવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઝીલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ નામના વ્યક્તિઓના ફાર્મ પર થયેલા ઘર્ષણ બાદ વામૈયા અને આસપાસના ગામના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ થઈ હતી. યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે આક્ષેપ કર્યો કે પોલીસે લોકશાહીનું હનન કરીને યુવાનોને જાહેરમાં અમાનવીય રીતે માર માર્યો છે. બેઠકમાં એવો પણ સુર ઉઠ્યો કે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને રીઝવવા માટે કાયદો હાથમાં લીધો હતો. પોલીસ તંત્ર દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે યુવાનોનું વસ્ત્રાહરણ કરી, ફાર્મ પર લઈ જઈ ઉઠબેસ કરાવી વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની મુખ્ય માંગ છે કે આ ઘટનામાં સંડોવાયેલા LRD કોન્સ્ટેબલ, ASI, PSI થી લઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સુધીના તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવે. આગેવાનોએ જણાવ્યું કે જો ટૂંકા ગાળામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો સોમવારે ફરીથી વામૈયા ખાતે સમાજ એકઠો થશે. તેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શક્તિ પ્રદર્શન કરશે. આ મામલે કોર્ટ અને કાયદાકીય લડતની સાથે સામાજિક સ્તરે પણ વિરોધ તેજ કરાશે. જો ન્યાય નહીં મળે તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામોમાં રાજકીય પક્ષો અને વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા જેવા આકરા નિર્ણયો લેવાની ચીમકી પણ આપવામાં આવી છે.
વિવિધ જિલ્લામાં મિની વાવાઝોડા સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વાવ,થરાદ, પાટણ, લખતરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.જેના કારણે પાક સહિત અન્ય મિલકતને વ્યાપક નુક્શાન પહોંચ્યું. તો અમદાવાદમાં પણ સવારથી જ ભારે પવનને કારણે ચાર જગ્યાએ ઝાડ પડ્યાની ઘટના બની.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આંગણવાડી બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં લઘુતમ વેતન સહિતની પડતર માગો સાથે આંગણવાડી બહેનોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું..બહેનોએ સરકારને 3 દિવસનું અલ્ટીમેટમ આપી માગ પૂરી ન થાય તો વિધાસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી મળી નકલી નોટો સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી મળી નકલી નોટો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે.સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની ધરપકડ કરાઈ છે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારને 25 માર્ચ સુધીનું પશુપાલકોનું એલ્ટિમેટમ દહેગામના પશુપાલકો અને ઉત્તમ-મધુર ડેરી વચ્ચેનો વિવાદ ચરમસીમાએ.. આજે વહેલી સવાર દહેગામ સજ્જડ બંધ તો ગાડી દૂધ લેવા પહોંચતા પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો .. 25 માર્ચ બાદ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એમ્બ્રોઈડરીના કારખાનામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ સુરતના કાપોદ્રામાં વહેલી સવારે એમ્બ્રોઈડરીના કારખાનામાં 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા.. દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા. કારખાનામાં ફસાયેલા અન્ય કામદારોનું પતરાં કાપીને રેસ્ક્યુ કરવામાં આવ્યું.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદના હેરિટેજ દરજ્જા પર યુનેસ્કોની નજર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો 'ઇકોમોસ'નું સંયુક્ત પ્રતિનિધિમંડળ ત્રણ દિવસ અમદાવાદની મુલાકાતે આવ્યું છે આ પ્રતિનિધિઓએ હેરિટેજ સ્થળોની આસપાસ કરવામાં આવેલા બાંધકામોની મુલાકાત લીધી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાના બેફામ મારથી માસુમ બાળકીનું મોત સુરતના વરાછાના વિસ્તારમાં લિવઈનમાં રહેતી મહિલાએ તેની બે વર્ષની બાળકીને માર મારી મોતને ઘાટ ઉતારી.. મહિલાના મારથી માસુમને બ્રેઈન હેમરેજ થયાનું સામે આવ્યુ હતું.. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રડતા રડતા ત્રણ વીડિયો બનાવી હીરા દલાલનો આપઘાત હીરા દલાલે રડતા રડતા એક બાદ એક ત્રણ વીડિયો રેકોર્ડ કરી ઝેર પી જીવન ટુંકાવી દીધું.સંદીપભાઈ ચોડવડિયાને અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યુ છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા હળવદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મજૂરી કામ કરતા 10 જેટલા યુવાનો નહાવા પડ્યા હતા જેમાંથી 2 યુવાનો ડુબ્યા છે એકને બચાવવા જતા બીજો પણ પાણીના પ્રવાહમાં ખેંચાઇ ગયો હતો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરામાં કાર ચાલકનો આતંક વડોદરાના એમ જી રોડ પર ધ્રુવ પટેલે પોતાની કાર બેફામ રીતે હંકારી હતી અને 4થી 5 વાહનોને અડફેટે લીધા જેમાં 3થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.. ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી કાચ તોડી રોકવાનો પ્રયાસ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાઈક સવારો ઊભેલી એક કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બાઈક પર સવાર ત્રણેય સગીરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પોલીસ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ધો.10ની પરીક્ષા આપીને ત્રણ સગીર બાઈકમાં પૂરપાટ ઝડપે જતા હતાઆ સમગ્ર ઘટના અંગેના CCTV ફૂટેજ આવ્યા છે. જેમાં પહેલા કાર રિવર્સ થોડી જાય છે અને તે સમયે ભયાનક સ્પીડે બાઇક આવે છે અને કારના પછાડાના ભાગે ધડાકાભેર અથડાય છે. ઘટના સ્થળે જ એક સગીરનું મોત થાય છે, જ્યારે અન્ય બે ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃતકનું નામ અનમોલ રવિન્દ્રભાઈ સોની (ઉંમર 15 વર્ષ) હતું. તેના પિતા વડોદરા પોલીસમાં સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. મૃતક સગીર દંતેશ્વર વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરનો રહેવાસી હતો અને હાલમાં ધોરણ-10માં અભ્યાસ કરી પરીક્ષા આપી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને સગીરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર આપવામાં આવી રહી છે. કારચાલક ખરીદી કરીને કારમાં બેસી રિવર્સ લેતો હતો ને અકસ્માત સર્જાયોઆ ઘટનાને લઈ સ્થાનિક નજરે જોનાર મહિલા કુંતલ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. કારચાલક ખરીદી કરીને અહીંયા આવ્યો અને કારમાં બેઠો અને પાછળથી ત્રણ બાઈક સવાર કારમાં ઘૂસી ગયા હતા. જેમાં ચાલકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં બાઈકચાલનો વાંક હતો, તેણે કાયદાનો ભંગ કર્યો હર અને હેલમેટ પણ પહેર્યું ન હતું. આ બાઈક ફૂલ સ્પીડમાં હતી અને આ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર બેઠેલા ત્રણેય સગીર મસ્તી કરતા ફૂલ સ્પીડમાં બાઈકમાં આવતા હતાઆ ઘટના અંગે કાર ચાલક કેયુરભાઈએ જણાવ્યું હતું કે, હું ખરીદી કરીને બહાર આવ્યો હતો અને કાર રિવર્સમાં લઈ રહ્યો હતોય આ દરમિયાન પાછળથી ટ્રિપલ સવારીમાં પૂરપાટ ઝડપે બાઈક આવે છે અને કારમાં ઘૂસી જાય છે. એક પણ વ્યક્તિને હેલમેટ પહેર્યું ન હતું. તેઓ મસ્તી કરતા કરતા ફુલ સ્પીડમાં આવતા હતા. બહાર નીકળીને જોતા તેઓને વાગ્યું હતી જેથી મેં પોલીસને અને 108 ને જાણ કરી હતી.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
બનાસકાંઠા જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની બેઠક પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં રૂ. 25 કરોડથી વધુના 916 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી. મંજૂર કરાયેલા કામોમાં વિવેકાધીન યોજના હેઠળ જિલ્લાના 10 તાલુકાના રૂ. 23.19 કરોડના 896 કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લાની 4 નગરપાલિકાઓ માટે રૂ. 2.01 કરોડના 20 કામોને પણ મંજૂરી મળી છે. બેઠક દરમિયાન પાણી પુરવઠો, રોડ-રસ્તા, સ્વાસ્થ્ય, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જોગવાઈઓ અંતર્ગત થતા કામો પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી. અધ્યક્ષ કમલેશભાઈ પટેલે તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ ધરી ગુણવત્તા અને તકેદારી સાથે પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બનાસકાંઠા જિલ્લામાં યોજનાકીય કાર્યો અંગે વધુ સજાગતા રાખી અસરકારક કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો, ખાસ કરીને આરોગ્ય જેવા જીવન જરૂરિયાત ધરાવતા વિભાગોના કામો સત્વરે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે અધિકારીઓને વિકાસ કામોની નિયમિત સ્થળ મુલાકાત લેવા અને કામો ગુણવત્તાસભર તથા ઝડપી ગતિએ પૂર્ણ થાય તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા આયોજન અધિકારી એસ.એન. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવતા જૂનાગઢ શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ તેજ પવન સાથે માવઠું શરૂ થયું હતું. ખાસ કરીને ભેસાણ પંથકમાં કરા સાથે પડેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેવાની ભીતિ જન્માવી છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભેસાણમાં કરા સાથે વરસાદ: રસ્તાઓ પર પાણીની રેલમછેલ જૂનાગઢ જિલ્લાના ભેસાણ શહેરમાં આજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે અહીં કરા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારથી ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ 'આફત' બનીને આવ્યો છે. માર્ગો પર વરસાદી પાણીની સાથે કરાના થર જામી ગયેલા જોવા મળ્યા હતા, જે ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો અહેસાસ કરાવી રહ્યા હતા. બાગાયતી પાકને મોટું નુકસાન: આંબા પરની કેરીઓ ખરી પડી જૂનાગઢ જિલ્લો એ કેસર કેરીનું હબ ગણાય છે. હાલના સમયમાં આંબાના બગીચાઓમાં નાની કેરીઓ (ખાખટી) આવી ગઈ છે. કમોસમી વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવન અને કરાના કારણે આંબા પરથી કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે, જો આ પ્રકારે વરસાદ ચાલુ રહેશે તો કેરીના પાકને પચાસ ટકાથી વધુ નુકસાન થઈ શકે છે. પવનના કારણે આંબાના મોર પણ ખરી ગયા છે, જેનાથી આ વર્ષે કેસરની મિજબાની મોંઘી અને ઓછી થવાની શક્યતા છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું: ઉભા પાક પર સંકટના વાદળો માવઠાના કારણે માત્ર બાગાયતી પાક જ નહીં, પણ ખેતરોમાં લણણી પર આવેલા રવિ પાકોને પણ ભારે નુકસાનની શક્યતા છે. જે ખેડૂતોએ પાકની લણણી કરી લીધી છે અને માલ ખેતરમાં ખુલ્લામાં પડ્યો છે, તેઓની હાલત કફોડી બની છે. ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા પાકોમાં ભેજ લાગવાથી તેની ગુણવત્તા બગડશે અને બજારમાં યોગ્ય ભાવ નહીં મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, મોઢે આવેલો કોળિયો હજુ છીનવાયો નથી પણ જો વરસાદી ઝાપટાં ચાલુ રહેશે તો પાયમાલ થવાની પૂરી શક્યતા છે. હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉ જ આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી આ સિસ્ટમને લીધે હજુ પણ બે થી ત્રણ દિવસ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા પણ ખેડૂતોને તેમનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ હતી, પરંતુ અચાનક આવેલા આ માવઠાએ કોઈને સંભળવાનો મોકો આપ્યો નથી. હાલ તો જૂનાગઢના આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને વરસાદી પવન ફૂંકાઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા આગામી દિવસોમાં નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માંગ ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. કુદરતી આફત સામે લાચાર બનેલો જગતનો તાત હવે સરકાર પાસે આશાભરી નજરે જોઈ રહ્યો છે.
પોરબંદરને રૂ. 414 કરોડના વિકાસકામોની ભેટ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લામાં રૂ. 413.81 કરોડના 46 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાજાવાલા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 17 કામોનું ઇ-ખાતમુહૂર્ત (રૂ. 320.59 કરોડ) અને 29 કામોનું ઇ-લોકાર્પણ (રૂ. 93.22 કરોડ) સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મજબૂત ફાઇનાન્સ મેનેજમેન્ટને કારણે સરકાર પાસે વિકાસના કામો માટે નાણાની કોઈ કમી નથી. આ વિકાસકામોમાં પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે રૂ. 291 કરોડ ફાળવવાનો સમાવેશ થાય છે. પર્યાવરણ અને પ્રવાસનને વેગ આપવા રૂ. 20 કરોડના ખર્ચે 'સર્વોદય વન' પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. 'મોકર સાગર વેટલેન્ડ' જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરાશે. શિક્ષણ ક્ષેત્રે ITI માં નવા ભવનોનું નિર્માણ થશે, જ્યારે RDSS યોજના હેઠળ રૂ. 20 કરોડના ખર્ચે વીજ સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માધવપુર ઘેડના મેળાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રામનવમીથી શરૂ થતો આ મેળો પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો સેતુ છે. પોરબંદરના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં રૂ. 2100 કરોડના કામો કરવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, પોરબંદરને મોડેલ જિલ્લો બનાવવા સરકાર સતર્ક છે. તેમણે આગામી બજેટમાં રૂ. 100 કરોડના ખર્ચે 'રીજનલ સાયન્સ સેન્ટર'ની મંજૂરી આપવા બદલ આભાર માન્યો હતો. વધુમાં, સ્ટ્રીટ લાઈટ માટે રૂ. 55 કરોડ અને છાયા આઈકોનિક રોડ માટે રૂ. 16 કરોડની ફાળવણીની વિગતો આપી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ 2001થી શરૂ થયેલી વિકાસ યાત્રાનો ચિતાર આપતા મેડિકલ અને કૃષિ કોલેજ જેવા પ્રકલ્પોની માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સ્વાગત પ્રવચનમાં વહીવટી તંત્રની કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર રેખાબા સરવૈયા, ભાજપ અગ્રણી વિમલ કગથરા, ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેફામ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ માટે ખતરો બની રહ્યા છે, ત્યારે શહેરના સાબરમતી વિસ્તારમાં ભારે વાહનોની બેદરકારી ફરી એકવાર સામે આવ્યો છે. ગત 13 માર્ચ 2026ના રોજ રેપિડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક પોતાની 14 વર્ષીય દીકરી અને 6 વર્ષના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે સાબરમતી ટોલનાકા પાસે પાછળથી આવતા એક ડમ્પરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. દીકરીને હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર ને 30 ટાંકા આવ્યાટક્કર એટલી ભયાનક હતી કે, પિતા અને બંને બાળકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં 14 વર્ષની અક્ષિતાને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સાવરા માટે પંચશીલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર આવ્યા છે અને લગભગ 30 ટાંકા લેવામાં આવ્યા છે. આ સાથે જ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 6 વર્ષના ધ્વનિલને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે. પિતાએ ઉછીના પૈસા લઈ દીકરીની સારવાર કરાવીઆ ઘટનાના પગલે પીડિત યુવકે ડમ્પર માલિક મુકેશ વણઝારાને સારવારના ખર્ચ માટે વિનંતી કરી હતી, પરંતુ માલિકે મદદ કરવા ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં યુવક પોતાના સગા-સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લઈને દીકરીની સારવાર કરાવી રહ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે, બાળકીના જમણા હાથની નસો ગંભીર રીતે નુકસાન પામી છે. બાળકોને સ્કૂલે મૂકવા જતા ડમ્પરે પાછળથી ટક્કર મારી: મહેન્દ્ર અમીનઅકસ્માતનો ભોગ બનનાર મહેન્દ્ર અમીને જણાવ્યું હતું કે, 13 માર્ચે હું એક્ટિવા પર મારી 14 વર્ષની દીકરી અક્ષિતા અને 6 વર્ષનો દીકરો ધ્વનિલને સ્કૂલમાં મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે એક ડમ્પર ચાલકે પાછળથી આવીને અમને ટક્કર મારી હતી. જેમાં મારી મોટી દીકરી અક્ષિતાને ખૂબ ઈજા પહોંચી હતી. હું રેપિડો ચલાવું છું. ઘરમાં કમાનાર વ્યક્તિ હું જ છું. હું તપોવન સર્કલ રહું છું. સાબરમતી સ્કૂલમાં મારા બંને બાળકો ભણે છે. 'ડમ્પરે ટક્કર મારતા અમે ફંગોળાઈને રોડ પર પટકાયા'હું બાળકોને ઘરેથી સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી તો અમે લોકો ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા. મારી દીકરીને ગંભીર ઈજા થતાં અમે તેને રિક્ષામાં બેસાડીને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. આસપાસના લોકોએ ડમ્પર ચાલકને પકડી રાખ્યો હતો. જ્યારે ડમ્પર ચાલકનો માલિક બીજા દિવસે હોસ્પિટલમાં આવ્યો હતો. ડમ્પર માલિકને હોસ્પિટલનો ખર્ચ આપવા વિનંતી કરીઅમે તેને વિનંતી કરી કે, અમારા રૂપિયા નથી જોયતા તમે મારી દીકરીનો જે હોસ્પિટલનો ખર્ચ થયો છે તે તમે આપો, પરંતુ ડમ્પરના માલિકે કહ્યું કે હું 50 હજાર રૂપિયા જ આપીશ. જોકે, અમારે હોસ્પિટલનો ખર્ચ 1.5 લાખ જેટલો થયો છે અને તેણે મને ના પાડી દીધી કે તમારાથી થાય એ કરી લો. ત્યારબાદ અમે તેનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યોપણ કોઈ જવાબ મળ્યો નથી. 'લોકો પાસે ઉછીના રૂપિયા લઈ દીકરીની સારવાર કરાવી'મારી દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે દીકરાને પણ ખૂબ વાગ્યું છે. અકસ્માતમાં એની આંખ પણ બચી ગઈ છે. ડોક્ટરે મારી દીકરીનું ઓપરેશન કર્યું અને તેને 30 જેટલા ટાંકા આવ્યા છે. ખર્ચો દોઢથી બે લાખ કહ્યો છે, અત્યારે મારી પરિસ્થિતિ છે જ નહીં. મેં મારા સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈ મારી દીકરીની સારવાર કરાવી છે. ડમ્પર માલિકે 50 હજાર આપવાનું કહ્યું તે પણ ન આપ્યાડમ્પરના માલિકે 50 હજાર આપવાનું કહ્યું હતું પરંતુ તે પણ એણે આપ્યા નથી. અમે ઘણા લોકો પાસેથી તેને કહેવડાવ્યું પણ તે આવ્યો નહીં. મારી દીકરીનું ગઈકાલે ઓપરેશન કર્યું છે. તેને 3 ફ્રેક્ચર થયા છે. અત્યારે હવે એ 6 મહિના સુધી સ્કૂલ પણ જઈ શકશે નહીં અને પોતાનું રોજબરોજનું કામ પણ જાતે કરી શકે તેમ નથી. ડમ્પરના માલિકનો સંપર્ક કરી તેને મળવા ગયા હતા: દુર્ગેશ પરમારમહેન્દ્રભાઈના મિત્ર દુર્ગેશ પરમારે જણાવ્યું હતું કે, મારા મિત્રનો મારી ઉપર ફોન આવ્યો હતો કે, તેની દીકરીને વાગ્યું છે. એટલે હું તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં મને જાણવા મળ્યું કે, દીકરીને વધારે વાગ્યું છે. ત્યાર પછી હું એલ ડિવિઝનમાં ગયો અને ત્યાં તપાસ કરી કે ડમ્પરવાળો કોણ છે? તો પોલીસે એવું કહ્યું કે, ડમ્પર જમા લઈ લીધું છે અને એ ભાઈ ઉપર કાર્યવાહી થતી હશે એ થશે. અમે ડમ્પરના માલિકનો સંપર્ક કર્યો હતો અને અમે તેને મળવા ગયા હતા. 'એમની ફાયનાન્સિયલ કન્ડિશન બહુ ખરાબ છે'અમે સામેના પક્ષને કહ્યું કે, ભાઈ આ જે મહેન્દ્રભાઈ છે એમની ફાયનાન્સિયલ કન્ડિશન બહુ ખરાબ છે. સવારે 4 વાગ્યે ઉઠીને રેપિડો ચલાવે છે. અહીંયા બિલ ભરી શકે એવી તેમની પરિસ્થિતિ નથી અને ભાડાના મકાનમાં રહે છે. અમારે કેસ કરવો નથી તમે જોઇ લો. દીકરી છે. આઠમાં ધોરણમાં ભણે છે. જે હાથથી લખવાનું છે એ જ હાથે દીકરીને વાગ્યું છે. 'આખો દિવસ આમ તેમ ફેરવ્યા ને અમારી કોઈ વાત સાંભળી નહીં'તેણે એક દિવસ આખો અમને આમ તેમ ફેરવ્યા. અમારી કોઈ વાત સાંભળી નહીં અને ત્યાર પછી અમે પોલીસ ફરિયાદ કરી છે. અત્યારે પણ તે ભાઈ ખોટી અફવાઓ ફેલાવે છે કે આ લોકો મને મારી નાખવાની ધમકી આપી છે. આ લોકોએ એવી કોઈ વાત કરી જ નથી.
સુરત શહેરના વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટ વિસ્તારમાં આજે અચાનક આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલી 'હોટેલ ડાયમંડ પ્લાઝા'ના પાંચમા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગમળતી માહિતી મુજબ દિલ્હી ગેટ પાસે આવેલી હોટેલ ડાયમંડ પ્લાઝાના પાંચમા માળે આવેલા કિચન (રસોડા)માં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા જ હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યોઆ ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોટેલના કર્મચારીઓ અને ગેસ્ટને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, હોટેલના કિચનમાં ગેસ લીકેજ થવાને કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથીઆગ એટલી વિકરાળ હતી કે, હોટેલના પાંચમા માળે રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આગની જાણ થતા જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો છે. પાંચમા માળે કિચનમાં આગ લાગી હતી. હવે તપાસ એ વિષય પર કરવામાં આવશે કે હોટેલનો આ પાંચમો માળ ગેરકાયદેસર હતો કે કેમ અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં.
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભરઉનાળે વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ શહેરમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં અંધાર છવાતા શહેરમાં વિઝિબિલિટી ઘટી હતી. વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ અને ભારર પવનની આગાહી ત્રણ દિવા માટે કરવામાં આવી હતી જેના પગલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીબાગ યાર્ડને એલર્ટ કરી ખેડૂતોને ત્રણ દિવસ પાક વેચાણ માટે ન લાવવા તેમજ યાર્ડની અંદર ખુલ્લામાં જણસી ન રાખવા સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (CAAA) એ તેના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ 'ટેકનિકલ ઇવનિંગ'નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના 75મા વર્ષના ખાસ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ICAI ની WIRC ના સચિવ તરીકે ચૂંટાવા બદલ આજીવન સભ્ય બિશન શાહનું સન્માન કરાયું હતું. ન્યાયિક ચુકાદાઓ અને ટેકનોલોજી પર મંથનકાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે વરિષ્ઠ વકીલ સૌરભ સોપારકરે કરવેરા માળખાને પ્રભાવિત કરનારા સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. બીજી તરફ, મૃગાંક પરીખે વ્યાવસાયિક પ્રેક્ટિસમાં કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીના એકીકરણ પર ભાર મૂક્યો હતો. સેવાકીય પ્રવૃત્તિઓ માટે 10 લાખનું દાનએસોસિએશનના વિકાસ માટે બે પરિવારો તરફથી ઉદાર સહયોગ પ્રાપ્ત થયો હતો. સ્વ. એમ જી પટેલ અને સ્વ. અશ્વિન શાહના પરિવારોએ 5-5 લાખ રૂપિયા મળી કુલ 10 લાખનું દાન આપ્યું હતું. આ રકમનો ઉપયોગ વ્યાવસાયિકોના ટેકનોલોજી અપસ્કીલિંગ અને યુવા સભ્યોના સ્ટડી સર્કલ માટે કરવામાં આવશે. વધતું જતું સભ્યપદ અને ભવિષ્યનું વિઝનCAAA ના પ્રમુખ રૂષભ શાહે જણાવ્યું હતું કે સંસ્થાની તાકાત તેના સમૃદ્ધ વારસામાં છે. આ વર્ષે 150 નવા સભ્યો ઉમેરાયા છે, જે સમુદાયના વધતા વિશ્વાસનું પ્રતીક છે. આર્ટિકલશિપ મેળો અને વાધવાણી ફાઉન્ડેશન સાથેના સહયોગ જેવી પહેલો દ્વારા વ્યાવસાયિક જોડાણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અનેક ભૂતપૂર્વ પ્રમુખો અને વરિષ્ઠ સી.એ. હાજર રહ્યા હતા.
અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે મોર્નિંગ વોક અને યોગામાં આવતી મહિલાનો પીછો કરી તેને ફોલો કરનાર આધેડની મણિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી બે મહિનાથી મહિલાની પાછળ પાછળ ફરતો હતો, જ્યારે સવારે ચાલવા આવતા હતા અને યોગામાં જતા હતા ત્યારે તેની પાછળ ફોલો કરતો રહેતો હતો. છેવટે મહિલાએ કંટાળીને તેમના પતિને જાણ કરી હતી અને બાદમાં સમગ્ર મામલે મણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નબી અહેમદ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે. મોર્નિંગ વોક માટે જતી હતી ત્યારે અજાણ્યો શખસ પાછળ જતો હતોમળતી માહિતી મુજબ શહેરના મણીનગર વિસ્તારમાં મહિલા તેના પરિવાર સાથે રહે છે કાંકરિયા તળાવ ખાતે દરરોજ મહિલા મોર્નિંગ માટે જાય છે તેમજ યોગા ક્લાસીસમાં પણ જાય છે. નવી અહેમદ પઠાણ નામનો વ્યક્તિ છેલ્લા બે મહિનાથી તેમની પાછળ પાછળ આવતો જતો હતો. પહેલા જ્યારે સવારે કાંકરિયા તળાવ ખાતે મોર્નિંગ વોક માટે જતી હતી ત્યારે તેની પાછળ પાછળ જતો હતો. જ્યારે યોગા ક્લાસીસમાં જતી હતી ત્યારે પણ તેને ફોલો કરતો જતો હતો. બે મહિનાથી સતત મહિલાની પાછળ પાછળ ફરતો હોવાને લઈને છેવટે મહિલાએ કંટાળીને તેના પતિને આ બાબતે જાણ કરી હતી. મહિલાની પાછળ પાછળ ફરી અને તેની છેડતી કરતો હોવા અને લઈને પતિ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણ કરવામાં આવી હતી જે બાદ મણીનગર પોલીસે સમગ્ર મામલે આરોપી નબી અહેમદ પઠાણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદર શહેરના તિલક ચેમ્બરથી મિતડી રોડ પર ચાલી રહેલી પેચવર્કની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ સાથે વેપારીઓએ કામ અટકાવી દીધું હતું. રોડની સફાઈ કર્યા વગર જ ધૂળ પર ડામર પાથરવામાં આવતો હોવાનું જણાતા વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વેપારીઓનો આક્ષેપ: ધૂળ પર જ ડામર મારી દેવામાં આવે સ્થાનિક વેપારી મિતલભાઈ ગરાળાએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, તિલક ચેમ્બરથી નરેન્દ્રના રોડ સુધી જે ડામરનું કામ ચાલતું હતું, ત્યાં કોઈ પણ પ્રકારની સાફ-સૂફી કર્યા વગર જ કામ શરૂ કરી દેવાયું હતું. અમે એન્જિનિયરને રજૂઆત કરી પણ તેઓ સમજતા નહોતા, જેથી અમે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને બોલાવ્યા હતા. જો ધૂળ પર જ ડામર મારી દેવામાં આવે તો આ રોડ 15 દિવસ પણ ટકતો નથી. ધારાસભ્યની ધારદાર રજૂઆત બાદ હવે તંત્ર સફાઈ કરવા વળગ્યું છે. વેપારીઓના આક્રોશને જોતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, રોડની પ્રોપર સફાઈ કર્યા બાદ જ પેચવર્કની કામગીરી આગળ વધારવી. ધારાસભ્યની સૂચના અને વેપારીઓના વિરોધ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યાર બાદ જ વેપારીઓએ કામ શરૂ કરવા દીધું હતું. RB અધિકારીએ કહ્યું અમે તો સફાઈ કરતા જ હતા બીજી તરફ, ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ સાગર પરમારે તંત્રનો બચાવ કરતા વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માણાવદરથી મિતડી સુધી પેચવર્કનું કામ ચાલુ છે. સફાઈ નથી થતી એવો માત્ર ઇસ્યુ હતો, બાકી અમે સફાઈ તો કરતા જ હતા. અમારે માત્ર કાંકરી રાખવાની હતી અને ધૂળ ઉડાડી દેવાની હતી. વેપારીઓનો આક્ષેપ છે કે સફાઈ કર્યા વગર જ ડામર પાથરી દેવાયો છે,ત્યારે સાગર પરમારે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, ના ના, અમે સફાઈ કરેલી જ છે. જોકે, જો સફાઈ થઈ જ હતી તો ધારાસભ્યના આવ્યા બાદ ફરીથી સફાઈ કેમ શરૂ કરવી પડી? તેવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે. હાલ તો ધારાસભ્યની મધ્યસ્થી બાદ કામગીરી યોગ્ય રીતે શરૂ થઈ છે, પરંતુ તંત્રની આવી લોલંલોલ નીતિ સામે વેપારીઓમાં રોષ યથાવત છે.
નવસારી શહેરમાં ડ્રેનેજ લાઇન અને રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે શહેરના મુખ્ય પ્રવેશદ્વારો અને આંતરિક રસ્તાઓની હાલત બિસ્માર બની છે. આ કામગીરીમાં ઢીલાશને કારણે સ્થાનિકો, વેપારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વધતા રોષ વચ્ચે નવસારી મહાનગરપાલિકાના કમિશનરે 15 એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. વિરાવળથી ટાટા સ્કૂલ, ગ્રીડથી જુનાથાણા, છાપરા રોડ અને મોટા બજાર જેવા વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. ગટર અને પાણીની લાઇન નાખ્યા બાદ તંત્ર દ્વારા રસ્તાનું તાત્કાલિક રીપેરીંગ ન થતા આખું શહેર ધૂળની ડમરીઓમાં ગરકાવ થઈ રહ્યું છે. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રિક્ષાચાલક હબીબ ખાને પોતાની સમસ્યા વર્ણવતા જણાવ્યું કે, રસ્તાઓ ખોદ્યા પછી સમયસર પુરાતા નથી. હોળી પહેલાથી કામ બંધ જેવું જ છે. રસ્તાની વચ્ચે ખાડા હોવાથી રિક્ષાના જમ્પર તૂટી જાય છે અને કમરના દુખાવા થાય છે. રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે બે વાહનો સામસામે પસાર થઈ શકતા નથી. તેમણે સ્મશાનથી મચ્છી માર્કેટ સુધીનો રસ્તો વહેલી તકે બનાવવાની વિનંતી કરી હતી. કોંગ્રેસના શહેર પ્રમુખ દીપક બારોટે વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, નવસારી મનપા બન્યા પછી વિકાસના નામે માત્ર ખોદકામ જ જોવા મળે છે. સુરત પ્રવેશદ્વાર (ટાટા સ્કૂલથી વેરાવળ), ઈટાળવાથી લુન્સીકુઈ અને એરુથી સ્ટેશન સુધીના તમામ રસ્તાઓ બિસ્માર છે. તેમણે પાંચ વર્ષથી ચાલી રહેલા ઓવરબ્રિજના કામમાં વિલંબ અને ગત વર્ષે ખાડીમાં પડીને એક યુવાનના મોતનો પણ ઉલ્લેખ કર્યો. આ ઘટનાઓ કમિશનરના વહીવટની નિષ્ફળતા દર્શાવે છે તેમ બારોટે ઉમેર્યું હતું. વધતા રોષને પગલે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ ગ્રીડ ફ્લાયઓવર અને વેરાવળથી ટાટા સ્કૂલ સુધીના રોડની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, હાલ ગ્રીડ ફ્લાયઓવર નીચે પ્લેસ મેકિંગ અને ગ્રીડથી સેવા સદન સુધી રોડ વાઈડનીંગની કામગીરી ચાલી રહી છે. કમિશનરે સ્થળ પર જરૂરી સૂચનાઓ આપી હતી અને આશા વ્યક્ત કરી કે, 15 એપ્રિલ સુધીમાં બંને મુખ્ય રસ્તાઓ અને અંડરબ્રીજનું કામ પૂર્ણ થઈ જશે. આનાથી લોકોને ટ્રાફિક અને ધૂળની સમસ્યામાંથી મુક્તિ મળશે.
આંગણવાડી બહેનોની સજ્જડ હડતાલ:'શોષણ બંધ કરો'ના નારા સાથે રણચંડી બની મેદાનમાં ઉતરી કાર્યકર બહેનો
આંગણવાડી બહેનો પોતાના હક અને સન્માનજનક વેતન માટે છેલ્લા લાંબા સમયથી લડત ચલાવી રહેલી ગુજરાતની અંદાજે 80 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ત્રણ દિવસની સજ્જડ હડતાલ અને તાળાબંધીનું શસ્ત્ર ઉગામ્યું છે, ત્યારે આજરોજ ભાવનગર જિલ્લામાં પણ આઠ જેટલા તાલુકાની બહેનોએ શહેર ના મોતીબાગ ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ સરકારની નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો, CITU ના ગુજરાત રાજ્ય મહામંત્રી અરુણ મહેતાએ જણાવ્યું હતું કે, 2018 પછી કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી, મોંઘવારીના આ સમયમાં રૂ.10,000 માં ઘર ચલાવવું અશક્ય છે સરકાર ડિજિટલ કામ કરાવવા માંગે છે પણ સુવિધા આપતી નથી, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવે, આ આંદોલનના મુખ્ય કેન્દ્રમાં પગાર વધારાનો મુદ્દો છે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર માટે રૂ.24,800 અને તેડાગર માટે રૂ.20,300 ના પગારનો હુકમ કર્યો હતો જોકે, આ ચુકાદાનો અમલ કરવાને બદલે સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચતા બહેનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, ભાવનગર જિલ્લા પ્રમુખ રાજેશ્રીબા ગોહિલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા પાંચ દિવસથી ઓનલાઇન કામગીરી બંધ કરી છે જો સરકાર અમારી સાથે બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો આ લડત હજુ વધુ ઉગ્ર બનશે, તાલુકા પ્રમુખ રમીલાબા ગોહિલે ઉમેર્યું હતું કે, 2022માં નવા મોબાઈલ આપવાનું વચન અપાયું હતું, પરંતુ 2026 સુધી હજુ જૂના અને ખામીયુક્ત મોબાઈલમાં અથવા વ્યક્તિગત ફોનમાં કામ કરવું પડે છે નવી એપ્લિકેશનો સામે પૂરતા સાધનોની માંગ, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નિવૃત્તિની વય મર્યાદા 58થી વધારીને 60 વર્ષ કરવામાં આવે, મે મહિનાની કાળઝાળ ગરમીમાં શાળાઓની જેમ આંગણવાડીઓમાં પણ કોમન વેકેશન જાહેર કરવામાં આવે, ગેસ સિલિન્ડર, મરી-મસાલા અને ફ્રૂટના પૈસા જે 4-4 મહિના સુધી અટવાયેલા રહે છે તેનું સમયસર ચુકવણું થાય. સરકાર અમારું શોષણ કરી રહી છે અને અમને 'ગુલામ' જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા છે, આજે બીજા દિવસે રાજ્યભરમાં અંદાજે 80,000 થી વધુ બહેનો હડતાલમાં જોડાઈ છે, ત્યારે સંગઠનોએ ચીમકી આપી છે કે, જો 12 જેટલી વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બહેનો કામગીરીથી અળગી રહી આંદોલનને વધુ તેજ બનાવશે...
અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે 12 એપ્રિલ 2026ની સાંજ યાદગાર બની રહેશે. શહેરના શ્રેયસ ફાઉન્ડેશન ખાતે ધ ગાના એરેના – ગુરુ શિષ્ય કનેક્ટ સીઝન 3 અંતર્ગત એક ભવ્ય ઓપન-એર કન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગુરુ અને શિષ્ય વચ્ચેના અતૂટ સંબંધોને સંગીતના માધ્યમથી ઉજવશે. એક જ ગુરુના 15 રત્નો એક મંચ પરઆ કન્સર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પ્રખ્યાત શાસ્ત્રીય ગાયન ગુરુ અનિકેત ખાંડેકર પાસે તાલીમ પામેલા 15 જાણીતા વ્યાવસાયિક ગાયકો એકસાથે પર્ફોર્મ કરશે. એક જ ગુરુના આટલા બધા પ્રતિભશાળી શિષ્યો જ્યારે એક મંચ પર ઉતરે છે, ત્યારે સંગીતનો એક દુર્લભ સમન્વય સર્જાશે. આ કલાકારો વર્ષોના સમર્પણ અને શીખવાની ધગશને પ્રેક્ષકો સમક્ષ જીવંત કરશે. ક્લાસિકલથી ફ્યુઝન સુધીની સફરઆ સંગીતમય સાંજે શ્રોતાઓને સોલો, ડ્યુએટ અને ભવ્ય કોરસ સાંભળવા મળશે. જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતથી લઈને સૂફી, બોલિવૂડ અને ફ્યુઝન જેવી વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં એવી જટિલ રચનાઓ પણ રજૂ કરાશે જે લાઈવ પર્ફોર્મન્સમાં અત્યંત પડકારજનક માનવામાં આવે છે. સંગીત અને નૃત્યનો અદભૂત સંગમસંગીતની સાથે આ કાર્યક્રમમાં મનમોહક નૃત્ય પ્રદર્શનો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. પરંપરા અને ગ્લેમરના મિશ્રણ સાથે આ પ્રદર્શનો ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને ઉજાગર કરશે. તમામ વયજૂથના લોકો માટે આ કાર્યક્રમ સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી એક સંગીતમય મિજબાની સાબિત થશે.
દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ:ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 18 થી 21 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી, જેના અનુરૂપ હવે દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. આ અચાનક આવેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હાલ કેટલાક પાક કાપણીના તબક્કામાં છે અને ખેતરોમાં કાપીને રાખેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો તેમના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગે અગાઉ જ ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી હતી. ખાસ કરીને ખુલ્લા મેદાનમાં પડેલા પાકને સુરક્ષિત રાખવા, ખાતર-બિયારણને ભેજથી બચાવવા અને આ દિવસોમાં જંતુનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવા સૂચના અપાઈ હતી. કૃષિ ઉપજ બજાર સમિતિઓને પણ વેપારીઓને અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે રાખવા જણાવાયું હતું. વરસાદ શરૂ થતાં વિભાગે ખેડૂતોને ફરી એકવાર સાવચેત રહેવા અને આગોતરા પગલાં લઈ પાકને સંભવિત નુકસાનથી બચાવવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં આગામી દિવસોમાં પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. આ ઘટનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પવનની તીવ્ર ગતિને કારણે રસ્તા પર દ્રશ્યતા ઓછી થઈ ગઈ હતી. ઘણા વાહનચાલકોને પોતાના વાહનો રોકી દેવાની ફરજ પડી હતી. થોડી ક્ષણો માટે જાણે વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. પવનના સુસવાટાને કારણે રસ્તા પરના પશુઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં પણ નાસભાગ મચી હતી. હોર્ડિંગ્સ અને ઝાડની ડાળીઓ પણ ભારે પવનથી હલવા લાગી હતી. ભારે પવન ફૂંકાયા બાદ જામનગરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ધૂળની ડમરીઓ પછી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ અચાનક આવેલા પલટાથી તંત્ર અને નાગરિકો બંનેને સાવચેત રહેવું પડ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્લાને રૂ.412.16 કરોડના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યની ભેટ આપી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્રને આજે જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લા પાંચ જ દિવસમાં ભરૂચ, પંચમહાલ અને દાહોદ બાદ આજે જામનગર સહિત કુલ રૂ. 2923 કરોડના વિકાસકામો લોકાર્પિત કરીને રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ અને જનસુખાકારીનો નવો અધ્યાય શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીની ભારે અછત હતી. પરંતુ વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં ‘સૌની યોજના’ અને ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. શહેરી વિકાસના નવા આયામો અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2005થી શરૂ થયેલી શહેરી વિકાસની ઉજવણીથી આજે રાજ્યના નગરોનો નકશો બદલાઈ ગયો છે. રાજ્યના ઐતિહાસિક બજેટમાં જામનગર માટે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આધુનિક જોગવાઈઓ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ અને અન્ય સુવિધાઓ માટે રૂ. 1775 કરોડના કામો થયા છે, જેમાં 125 ચેકડેમ-તળાવો અને 57 પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. સાધના કોલોનીના રહેવાસીઓ માટેના આવાસનું આજે ખાતમુહૂર્ત થતા અહીંના વર્ષો જૂના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું કે આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો અને પ્રવાસનથી ધબકતાં કરીને ગુજરાતના પ્રથમ શહેરોમાં ફેરવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મંત્રી રિવાબા જાડેજાએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે. વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિન, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે તથા વંદે ભારત ટ્રેન જેવી સુવિધાઓ થકી જામનગર સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઉભરી રહ્યું છે.
શેરબજારમાં મોટો આંચકો, સેન્સેક્સમાં 2400થી વધુનો તો નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો કડાકો
Today Stock Market Crash : મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર પરી શેરબજાર પર જોવા મળી છે. આજે સપ્તાહના ચોથા દિવસે એટલે કે, ગુરુવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેંચમાર્ક સૂચકાંક ત્રણ ટકા ગગડી ગયું છે, તો BSE સેન્સેક્સમાં પણ 3.26 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. એટલું જ નહીં. નિફ્ટી 50, નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટોના શેરો સહિત તમામ માર્કેટ પછડાયા છે.
Gold Silver Market Crash : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન તેલ સપ્લાયના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવતા આગામી સમયમાં ગેસ અને તેલની અછત વધી શકે છે. આ જંગની અસર એવી થઈ રહી છે કે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બીજી તરફ શેરબજાર અને સોના-ચાંદી ધડામ થઈ રહ્યા છે. બંને કિંમતી ધાતુઓમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડ તરફથી વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજારની સાથે સોના-ચાંદી પર પણ જોવા મળી હતી.
ભાવનગર અશાંતધારા વાળા વિસ્તારની મિલકતની ફાઈલ મંજૂરી કરાવવા માટે પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા 15 લાખની માગણી કરી હોવાના વીડિયો-ઓડિયો વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. આ મામલે ફરિયાદ નોંધાવવા કલેકટર દ્વારા આદેશ કરાયો છે. તેની વચ્ચે જ ભાવનગરના વધુ એક અશાંત વિસ્તારની મિલકત મંજૂરી વગર જ વેચી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારમાં જ તંત્રની પૂર્વ મંજૂરી વગર જ 93 લાખ રૂપિયામાં એક મકાનનો સોદો થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. શહેર મામલતદાર દ્વારા આ મામલે મિલકત ખરીદ-વેચાણ કરનારી પાર્ટી સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, ભાવનગરના ઈતિહાસમાં અશાંત ધારા ભંગની આ પ્રથમ અને ગુજરાતની બીજી ફરિયાદ છે. દસ્તાવેજ વગર જ મકાનનો કબજો બદલી ગયોઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર વિદ્યાનગર એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદાર કે.બી. ચાંદલીયાએ ફરિયાદ નોંધાવી હતી કે ભાવનગર શહેરના ક્રેસંટ વિસ્તારમાં આવેલા પ્લોટ નં. 567-A માં હાલ અલ્લારખભાઈ કાદરભાઈ ગીગાણી તેમના પરિવાર સાથે રહે છે. તેમણે આ મકાન દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ પાસેથી તા. 26 ઓગસ્ટ, 2025ના રોજ વેચાણથી ખરીદ્યું હતું અને સાટાખત પણ કરાવેલ હોવાનું સામે આવ્યું છે. જોકે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવાથી મકાનનો દસ્તાવેજ કરવામાં આવ્યો નહોતો, છતાં મકાનની કુલ કિંમત રૂ. 93 લાખ ચુકવ્યા બાદ મકાનનો કબ્જો અલ્લારખભાઈને સોપી દેવામાં આવ્યો હતો.તપાસ દરમ્યાન સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરીમાં રજૂ થયેલા દસ્તાવેજોનું નિરીક્ષણ કરતા આ બાબતની વિધિવત મંજૂરી લેવામાં આવી નહોતી તે સામે આવ્યું હતું. અશાંતધારા ભંગ બદલ 3 લોકો સામે ફરિયાદઆમ વોર્ડ નં. 5, શીટ નં. 135, સીટી સર્વે નં. 4463 હેઠળ આવતી કેસંટ વિસ્તારમાં આવેલી મિલ્કતમાં અશાંતધારો લાગુ હોવા છતાં મિલ્કતનું વેચાણની કરવામાં આવ્યું હતું. દર્શરાજસિંહ ગોહીલે મિલકત વેચાણથી અલ્લારખભાઈ કાદરભાઈ ગીગાણી ને વેચાણથી ટ્રાન્સફર કરવા માટે તા. 11 સપ્ટેમ્બર,2025ના રોજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરીમાં મંજૂરી માટે અરજી કરી હતી.પરંતુ તપાસ અને પક્ષકારોને સાંભળ્યા બાદ તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ આ અરજી દફતરે કરી દેવામાં આવી હતી. છતાં પણ મકાન વેચી કબ્જો સોપી દેતા અશાંતધારાની કલમ 4 અને 5 નો ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે દર્શરાજસિંહ ગોહીલ, અલ્લારખભાઈ ગીગાણી સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુમાં સમગ્ર મામલાની તપાસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને હાલ પંચરોજ કામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરના ઈતિહાસમાં અશાંતધારા ભંગનો પ્રથમ અને ગુજરાતમાં બીજો કેસ- ડીવાયએસપીઆ અંગે સીટી DYSP આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે,ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે કૃષ્ણનગર વિસ્તારમાં અશાંત ધારાના ભંગ બદલની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેની વિગત એવી છે કે જાન્યુઆરી માસમાં એસપી નીતિશ પાંડે ને એક અરજી મળેલી, જેમાં કૃષ્ણનગર, સરપટણી રોડ પર આવેલ સરદાર સ્મૃતિની બાજુમાં પ્લોટ નંબર 567/A ના માલિકે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોય છતાં સરકારની પૂર્વ મંજૂરી સિવાય તે વિધર્મીને વેચી દીધેલ છે અને હાલમાં આ જે વિધર્મી જે છે ત્યાં રહે છે. આ બાબતની અરજી મળતા એસપી દ્વારા LCB પીએસઆઈ વી.સી.જાડેજાને આ બાબતની તપાસ સોંપવામાં આવેલ અને તેની તપાસના અંતે સામે આવ્યું કે પ્લોટ નંબર 567 માં અલ્લારખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તેનો પરિવાર ત્યાં રહે છે. અને જે મૂળ માલિક દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, દ્વારા આ વિસ્તારમાં મકાન છે 93 લાખ રૂપિયા લઈ અને વેચવામાં આવેલા છે. અને બેંકમાં વ્યવહાર કરવામાં આવેલ છે અને હાલમાં અલ્લારખભાઈના પરિવાર ત્યાં રહે છે. જેથી એસડીએમ કચેરીએ આ બાબતની પ્રપોઝલ મોકલવામાં આવેલી હતી અને ગઈકાલે સિટી મામલતદાર કે.બી. ચાંદલિયા દ્વારા, ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અશાંત ધારાના ભંગ બદલ અને તેમાં દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને અલારખ ગીગાણી અને તપાસમાં જે ખુલે તેના વિરુદ્ધ અશાંત ધારા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. અશાંત ધારા ભંગ બદલના ગુજરાતમાં 2 કેસ થયા છે જેમાં અમદાવાદમાં એક કેસ દાખલ થયેલ છે અને ભાવનગરમાં પ્રથમ ગુન્હો દાખલ થયેલ છે એમ ગુજરાતમાં 2 નંબરનો અશાંત ધારા ભંગનો કેસ દાખલ થયેલ છે. આ બંને દશરથસિંહ અને અલ્લારખભાઈ છે પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા છે અને તેની પૂછપરછ હાલમાં ચાલુ છે. સ્થાનિક જગ્યા જઈ અને તેનું પંચનામું કરવામાં આવ્યું છે અને આ તપાસમાં જે પૈસા છે 93 લાખ તેની ટ્રેલ, મની ટ્રેલ જે છે તે એસ્ટાબ્લિશ કરવામાં આવશે અને તેના કયા બેંકમાંથી અને કઈ રીતે આ નાણાં જે છે તે મેળવ્યા અને તેની ઊંડી તપાસ કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃભાવનગર SDMના નામે 15 લાખની લેતીદેતીના કથિત ઓડિયો-વીડિયો વાઈરલ ભાવનગર શહેરના અશાંતધારો અમલમાં છે એવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતીદેતીના કથિત ઓડિયો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. કથિત ઓડિયો-વીડિયોમાં મહિલા એસડીએમના ડ્રાઈવરનું નામ સામે આવતા એસડીએમ તરફથી તેને તાત્કાલીક અસરથી છુટો કરી દેવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે એસપીને પણ જાણ કરવામાં આવી છે. મહિલા પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, આ મામલામાં મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
રાજકોટમાં ઉનાળો શરૂ થતાં મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે પ્રાણીઓ-પક્ષીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં પ્રાણી-પક્ષીઓને પીવાના પાણીમાં ORS, પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર, રીંછ માટે ફ્રુટ કેન્ડી, સિંહ, વાઘ, દિપડાનાં પાંજરામાં વિશાળ પોન્ડ બનાવાયા છે. પ્રાણીને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય તે માટે કૃત્રિમ ફુવારાઓ ગોઠવવામાં આવ્યા છે. આ સાથે પ્રાણીઓનાં શરીરમાં ગરમીની અસર ઓછી થાય તે માટે ORS આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં શાકાહારી માંસાહારી પ્રાણીઓ માટે આઇસ કેન્ડી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાને લઈ કેટલાક પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત વિગત મુજબ પ્રદ્યુમ્નપાર્ક ઝુ ખાતે જુદી જુદી 69 પ્રજાતિઓના કુલ 595 વન્ય પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે. વિવિધ ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને આ તમામ પ્રાણીઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર તમામ વન્ય પ્રાણી-પક્ષીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ દરમિયાન સખત તાપ અને ગરમીમાં પ્રાણી-પક્ષીઓને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઝૂ ખાતે સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે જેવા મોટા કદના પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના તળાવ બનાવાયા છે. જેથી આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પાણીમાં બેસી ગરમીથી રાહત મેળવે છે. આ ઉપરાંત પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા મુકાયા છે. તો તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર બેસીને આ પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. ઉપરાંત ઉનાળામાં બપોરે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. અને રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાઓની અંદર પૂરતી સંખ્યામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. નાના કદના પ્રાણીઓ વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વગેરેના પાંજરામાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. ઝુ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર. કે. હિરપરાનાં જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીના ખોરાકમાં અંદાજે 10% જેટલો ઘટાડો નોંધાતો હોય છે. જ્યારે સરીસૃપ પ્રજાતિના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વગેરેનાં ખોરાકમાં વધારો થાય છે. ત્યારે ગરમીને કારણે ઝૂ ખાતે તમામ પ્રાણી-પક્ષીઓને ઝાડા કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ORS આપવામાં આવે છે. તો તમામ પ્રકારના હરણના પાંજરાઓમાં પુરતા પ્રમાણમાં વૃક્ષો દ્વારા છાંયડાની વ્યવ્સ્થા કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, વાંદરાને પાંજરામાં બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર બેસી, તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ વાંદરાને સારી રીતે નિહાળી શકે છે. બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે વાંદરાઓને પણ ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. તો જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી, શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર રજાઓ તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય દર વર્ષે અંદાજિત 7 લાખ મુલાકાતીઓ આવતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. પ્રાણીઓ-પક્ષીઓ માટે કરવામાં આવેલી સગવડતા મોટા કદના પ્રાણીઓ (સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે) આ તમામ પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવેલ છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે. પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે. તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે. બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછ-વાંદરાઓને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાઓની અંદર પૂરતી માત્રામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. નાના કદના પ્રાણીઓ (વરૂ, શીયાળ, જંગલી કુંતરા, શાહૂડી વિગેરે) આ તમામ પ્રાણીઓનાં પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે. રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા ની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે. જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાઓની અંદર ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે છે. તમામ હરણના પાંજરાઓમાં વ્રુક્ષો દ્વારા પુરતા પ્રમાણમાં છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાબર હરણ માટે તેઓની પ્રકૃતી અનુસાર ખાસ પ્રકારનો મડ પોન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના સમયે સાબર મડ પોન્ડમાં બેસી ગરમીથી રાહત મેળવે છે.
ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે સરકારી તળાવ માંથી ગેરકાયદેસર ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર ખાણ-ખનીજ વિભાગે કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો-સાધનો મળી કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વરતેજ પોલીસ મથકે સોંપી આપી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરાએ જણાવ્યું હતું કે, આજરોજ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે સરકારી તળાવ માંથી ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામ ની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરી ભાવનગર ની તપાસ ટીમ દ્વારા ફરિયાદકા ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ વિસ્તારમાંથી 1 જેસીબી મશીન, એક ટ્રક અને એક ટ્રેક્ટર દ્વારા માટી ખનિજનું ખોદકામ/વહન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગની તવાઈથી ખનીજ ચોરોમાં ફફટાડ ફેલાયો આ માટી ખોદકામ કરવા માટેની કોઇપણ પ્રકારની મંજૂરી લીધેલ ન હોવાથી 1 જેસીબી મશીન, એક ટ્રક અને ટ્રેક્ટર ને સિઝ કરી કુલ 40 લાખનો મુદ્દામાલ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે અટક રાખવામાં આવી આગળની કાયદેસર઼ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગે કામગીરી હાથ ધરી અને અલગ-અલગ ટીમો સાથે ખનીજચોરો પર ટીમ ત્રાટકી હતી. ખાણ ખનીજ વિભાગની તવાઈથી ખનીજ ચોરોમાં ફફટાડ ફેલાયો છે.
ગિફ્ટ સિટી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સાકાર થયેલું સપનું છે, જે હવે સિંગાપોર, દુબઈ અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026” ના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ગૌરવશાળી સિદ્ધિ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રા અને ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સપનાનું શહેર: ડે ડ્રીમથી વૈશ્વિક ફિનટેક સિટી સુધીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ સિટીના ઈતિહાસને યાદ કરતા જણાવ્યું કે, લગભગ 2 દાયકા પહેલા જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ એક ઉજ્જડ જમીન પર આ પ્રોજેક્ટનું વિઝન રાખ્યું હતું, ત્યારે ઘણાએ તેને માત્ર એક કલ્પના ગણાવી હતી. આજે આ શહેર માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પરંતુ લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બન્યું છે. IFSCA ના યુનિફાઈડ રેગ્યુલેટરી આર્કિટેક્ચર અને આકર્ષક ટેક્સ માળખાને કારણે ગિફ્ટ સિટી વિશ્વના નકશા પર મજબૂત રીતે ઉભરી આવ્યું છે. વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી: નવી સુવિધાઓની જાહેરાત યુવાનોની સામાજિક જરૂરિયાતો અને 'ઈવનિંગ લાઈફ'ને વધુ જીવંત બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 1 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ કરવામાં આવશે. વધુમાં, સરકાર 'વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી' મોડેલ હેઠળ કર્મચારીઓ માટે અત્યાધુનિક રહેણાંક સુવિધાઓ વિકસાવવા પર વિશેષ ધ્યાન આપી રહી છે. ગ્લોબલ એક્સપોઝર હવે ઘર આંગણે મંત્રીએ યુવાનોને આશ્વાસન આપ્યું હતું કે હવે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કક્ષાનું વળતર અને એક્સપોઝર બંને ઉપલબ્ધ છે. આ માટે IIM-અમદાવાદ, નિરમા અને નેશનલ લો યુનિવર્સિટી જેવી સંસ્થાઓ 'વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ' તૈયાર કરી રહી છે. વિપ્રો જેવી દિગ્ગજ કંપનીઓનું સ્વાગત કરતા તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં રહેલી રાજકીય અને નીતિગત સ્થિરતા રોકાણકારો માટે શ્રેષ્ઠ તક છે. વિકસિત ભારત @ 2047 નો સેતુ વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે જે નાણાકીય પ્રવૃત્તિઓ અગાઉ વિદેશમાં થતી હતી, તે હવે ભારતની ધરતી પર પરત આવી રહી છે. ગિફ્ટ સિટી 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વનો સેતુ બનશે. ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકે પણ આ પ્રસંગે રોડમેપ રજૂ કરતા જણાવ્યું કે, ભારત સરકાર, ગુજરાત સરકાર અને રેગ્યુલેટર 'વન ટીમ, વન ડ્રીમ' ના સૂત્ર સાથે કામ કરી રહ્યા છે. આ સમિટમાં સંજય કૌલ, કે. રાજારામન, રિશદ પ્રેમજી અને લલિત આહુજા જેવા અગ્રણીઓએ પણ ગિફ્ટ સિટીના ભવિષ્ય અને ટેલેન્ટ મેનેજમેન્ટ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સુરત શહેરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. સત્તાધારી પક્ષ ભાજપ સામે ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આજે સુરતમાં કોંગ્રેસ અને સામાજિક સંગઠનોના જાણીતા ચહેરાઓએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આ જોડાણને કારણે સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ખાસ કરીને કોંગ્રેસના સંગઠનમાં ગાબડું પડ્યું હોવાનું મનાય છે. કુંભારીયા ગામના સામાજિક કાર્યકરે આપનો ખેસ ધારણ કર્યો આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને યુવા નેતા પાયલ સાકરીયાની હાજરીમાં અનેક પ્રતિષ્ઠિત આગેવાનો AAPમાં જોડાયા છે, જેમાં રમેશભાઈ જીંજાળા આહીર સમાજના અગ્રણી અને 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મજબૂતાઈથી લડનાર નેતા છે. તેઓ સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. સાથે મનીષાબેન રાઠોડ બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન અને કુંભારીયા ગામના સામાજિક કાર્યકરે આપનો ખેસ ધારણ કર્યો છે અને સંજયભાઈ વાળા આહીર સમાજના અન્ય એક સક્રિય અને પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન છે આ તમામ નેતાઓએ પોતાના સમર્થકો અને ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સ્વીકારી છે. સુરતના પ્રતિષ્ઠિત લોકો અને સમાજસેવકો અમારી કામની રાજનીતિથી પ્રેરિત થઈ રહ્યા છેઆમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2021માં જ્યારે AAPએ પ્રથમ વખત સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું ત્યારે સુરતના જાગૃત નાગરિકોએ અમને મુખ્ય વિપક્ષ તરીકે બેસાડીને એક મોટી જવાબદારી સોંપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં અમારા કોર્પોરેટરોએ જનતાના પ્રશ્નોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂરી મજબૂતાઈથી ઉઠાવ્યા છે. હવે જ્યારે ફરીથી ચૂંટણીનો સમય નજીક છે ત્યારે સુરતના પ્રતિષ્ઠિત લોકો અને સમાજસેવકો અમારી કામની રાજનીતિથી પ્રેરિત થઈ રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રમેશભાઈ જીંજાળા જેવા કદાવર નેતાના આવવાથી પક્ષને હીરા ઉદ્યોગ અને આહીર સમાજમાં મોટું પીઠબળ મળશે તો બીજી તરફ મનીષાબેન રાઠોડના જોડાવાથી આદિવાસી સમાજ અને પછાત વર્ગના પ્રશ્નોને વાચા આપવાનું અમારું અભિયાન વધુ વેગવંતુ બનશે. 2021ની ચૂંટણીમાં રમેશભાઈએ કોંગ્રેસની ટિકિટ પરથી રસાકસી ભરી જંગ લડી હતીરમેશભાઈ જીંજાળાનું કોંગ્રેસ છોડીને AAPમાં જવું એ કોંગ્રેસ માટે એક મોટો આંચકો માનવામાં આવે છે. 2021ની ચૂંટણીમાં રમેશભાઈએ કોંગ્રેસની ટિકિટ પરથી રસાકસી ભરી જંગ લડી હતી. જેમને હવે આમ આદમી પાર્ટીમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ફટકો અને આમ આદમી પાર્ટીને ફાયદો થવાની આશંકાઓ વ્યક્ત થઇ રહી છે. સુરત શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પરિવાર દિવસે-દિવસે મજબૂત થઈ રહ્યો છે. 2021માં કોંગ્રેસ વતી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડેલા આર.આર. ઝીંઝાળા ઉર્ફે રમેશભાઈ ઝીંઝાળા પોતાના સમર્થકો સાથે આજે આમ આદમી પાર્ટીની લોકહિતની, જનહિતની, શિક્ષણ અને આરોગ્યની રાજનીતિથી પ્રેરિત થઈ વિધિવત રીતે જોડાયા છે. સાથે-સાથે ભીલિસ્તાન ટાઈગર સેના, સુરતના આગેવાન બેન મનીષાબેન રાઠોડ પણ આમ આદમી પાર્ટીની જનહિતની અને લોકહિતની રાજનીતિથી પ્રેરિત થઈ આજે વિધિવત રીતે ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તમામ મિત્રોનું આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે. મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં તમામ 120 સીટો પર ઉમેદવારો ઊતારશેસુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 120 સીટો ઉપર મજબૂત, નિષ્ઠાવાન અને ઈમાનદાર ઉમેદવારો ઉતારશે અને લોકોની અંદર જન્મેલી મજબૂત આશાને વધુ આગળ ધપાવશે અને સુરતના લોકોના વિશ્વાસને વધુ મજબૂત કરશે.
દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ ત્રણ દિવસ અમદાવાદની મુલાકાતે આવ્યું છે. ત્યારે આજે 19 માર્ચના રોજ યુનેસ્કોની તેમના પ્રતિનિધિઓ દ્વારા કોટ વિસ્તારમાં હેરિટેજ સ્થળોની આસપાસ કરવામાં આવેલા બાંધકામોની મુલાકાત લીધી હતી. હેરિટેજ વેલ્યુ પર બાંધકામને લઈને શું અસર થશે તેની માહિતી મેળવીયુનેસ્કોના પ્રતિનિધિ મંડળે શહેરના દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન, કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને ભદ્ર કિલ્લા સહિતના હેરિટેજ સ્થળો પર ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ હેરિટેજ સ્થળોની આસપાસ કોઈ બાંધકામ કરવામાં આવે છે ત્યારે હેરિટેજ વેલ્યુને કોઈ અસર નથી થતી તેનું નિરીક્ષણ કરવા માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે હેરિટેજ વેલ્યુ પર બાંધકામને લઈને શું અસર થઈ શકે છે અને શું અસર થશે તે અંગે સમગ્ર માહિતી મેળવી હતી. જમાલપુર દાણાપીઠ, કાલુપુર રેલવે સ્ટેશન, ભદ્ર કિલ્લાની મુલાકાત લીધી યુનેસ્કોના પ્રતિનિધિ મંડળ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે અને આ સમગ્ર બે દિવસ દરમિયાન તેમણે શું નિરીક્ષણ કર્યું તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. પ્રતિનિધિ મંડળ દ્વારા જમાલપુર દાણાપીઠ ખાતે ફાયર સ્ટેશન અને પાર્કિંગ, કાલુપુર રેલવે સ્ટેશન, ભદ્ર કિલ્લાની મુલાકાત લીધી હતી. બપોર બાદ દાણાપીઠ ખાતે સરદાર પટેલ ભવનમાં નવા બની રહેલા હેરિટેજ બિલ્ડીંગ સહિતની મુલાકાત લેશે. ડેવલોપમેન્ટનો સૌથી મોટો પ્રોજેક્ટ કાલુપુર રેલવે સ્ટેશનનોવર્લ્ડ હેરિટેજ સિટીમાં ઓળખ ધરાવતા એવા કોટ વિસ્તારમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે. ત્યારે હેરિટેજ સ્થળોની આસપાસ કેટલાક ડેવલોપમેન્ટના કામ ચાલી રહ્યા છે, જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ કાલુપુર રેલવે સ્ટેશનનો છે. ઐતિહાસિક ઝુલતા મિનારા સહિત અલગ અલગ મસ્જિદો કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ આવેલી છે. ત્યારે તેને કોઈ અસર થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. દાણાપીઠ ફાયર સ્ટેશન ઐતિહાસિક જુમ્મા મસ્જિદની નજીક બની રહ્યું છે ત્યારે તેની ઊંચાઈથી લઈ અને કેવું દેખાય છે તે અંગે તેમણે માહિતી મેળવી હતી. શહેરના વિવિધ હેરિટેજ સ્થળોની મુલાકાત લીધીગીતામંદિર એસટી બસ સ્ટેન્ડની આસપાસ પણ આસ્ટોડિયા દરવાજા અને કિલ્લાની દીવાલ તેમજ ઐતિહાસિક ભદ્ર કિલ્લાનું પણ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તે અંગે સમગ્ર માહિતી આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રયાગ લંગાળિયા અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે તેમણે શહેરના હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. અધિકારીઓને કરેલી રજૂઆત પ્રમાણે કામ થયું છે કે કેમ તે ચકાસ્યુંકાલુપુર રેલવે સ્ટેશન અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ તેમજ ફાયર સ્ટેશન પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે કેટલાક પ્રશ્નો હોવાથી આ બાબતે તેમણે અધિકારીઓને અગાઉ રજૂઆત કરી હતી. જે બાદ કેટલાક ફેરફાર અને તેમાં તે મુજબનું બાંધકામ કરવાની પ્રક્રિયા કરાય છે કે કેમ વગેરે અંગે આ સ્થળો ઉપર તેમણે જાતે નિરીક્ષણ કરી અને તેના ફોટોગ્રાફ્સ પાડ્યા હતા. AMCના મધ્ય ઝોનના અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે બેઠકસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુનેસ્કોના પ્રતિનિધિ મંડળ દ્વારા 18મી માર્ચના રોજ દાણાપીઠ મ્યુનિસિપલ ઓફિસ ખાતે એક મહત્ત્વની બેઠક મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે કરી હતી. આ બેઠકમાં યુનેસ્કો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ઇકોમોસના ટેકનિકલ રિવ્યુ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પ્રિસિન્ટ ડેવલોપમેન્ટ, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ એવા બંને પ્રોજેક્ટના કારણે કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થવાનું જોખમ હોવાની બાબતો તેમજ હેરિટેજ ઇમારતોને નુકસાનને અટકાવવા શું કરવામાં આવ્યું તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી . છેલ્લા 8 મહિનામાં 112 મકાનોના રિસ્ટોરેશનને મંજૂરી મળ્યા બાદ, આ કામગીરી કેટલી અસરકારક છે તેની પણ તપાસ કરી ચર્ચા કરી છે. બારીકાઈથી નિરીક્ષણ કરવા સ્થળ મુલાકાત લઈને ફોટોગ્રાફ્સ લીધાંઆજે 19મી માર્ચના રોજ સવારના સમયે ઇકોમોસના એક્સપર્ટ એલિઝાબેથ વાઈન્સ અને યુનેસ્કોના એકસપર્ટ રોલેન્ડ લિન પોતે દાણાપીઠ ફાયર સ્ટેશન અને કાલુપુર રેલ્વે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ્સ સ્થળ પર કેવા દેખાય છે અને તેનાથી આસપાસના ઐતિહાસિક માળખા પર શું અસર પડી રહી છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે સ્થળ પર મુલાકાત લઈને ફોટોગ્રાફ્સ લીધાં હતા. ટીમ દ્વારા 'રિયેક્ટિવ મોનિટરિંગ મિશન' દરમિયાન ટીમ દ્વારા ભદ્રના કિલ્લાના સંરક્ષણ, સરદાર પટેલ મ્યુઝિયમના સંરક્ષણ અંગે પણ બપોર બાદ મુલાકાત લઇ નિરીક્ષણ કરાશે. 21મી માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશનર સાથેની અંતિમ બેઠક બાદ આ ટીમ દિલ્હી પરત ફરશે. યુનેસ્કોનો આ રિપોર્ટ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી મહત્ત્વનું સાબિત થશે.
યુદ્ધની સ્થિતિને કારણે ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકો અને હવે તો નાગરિકો પણ પરેશાન થઈ ગયા છે. ગેસ ડીલરની ઓફિસો પર લાઇનો લગાવવા છતાં લોકોને ગેસ સિલિન્ડરની બોટલ મળતી નથી. સિલિન્ડરની અછત સર્જાતા કેટલાક લોકોએ તેના ભાવ વધારી કાળાબજારી કરવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રેમ દરવાજા પાસે ગેસ સિલિન્ડરની અછત અને કાળાબજારીઓના કારણે જનતાને પડી રહેલી હાલાકી મુદ્દે દેખાવો કર્યો હતો. સરકાર વિરુદ્ધ પોસ્ટર અને નારા લગાવી વિરોધ કરતા પોલીસે યુથ કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા વિધાનસભાથી લઈને વોર્ડ સુધી વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યુંરાજ્ય સહિત અમદાવાદમાં પણ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. વહેલી સવારથી જ લોકો ગેસ સિલિન્ડર મેળવવા માટે ગેસ ડીલરની ઓફિસો પર લાઇનો લગાવી રહ્યા છે પરંતુ, સપ્લાય બંધ થઈ ગઈ હોવાથી નાગરિકોને પણ ઘરે રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડર મેળવવા મુશ્કેલ બની ગયા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા વિધાનસભાથી લઈને વોર્ડ સુધી વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નાગરિકોને પડતી હાલાકીને લઈને સરકાર સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગેસ સિલિન્ડર આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના પોસ્ટર સાથે વિરોધયુથ કોંગ્રેસ અને NSUI દ્વારા પણ પ્રેમ દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, અછત અને કાળાબજારીઓના કારણે નાગરિકો પરેશાન થઈ રહી છે. જેને લઈને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને NSUIના કાર્યકર્તાઓએ પોસ્ટર અને બેનર લઈને વિરોધ દર્શાવ્યો હતો. રોજગારી આપવાના બદલે સરકારે મોંઘવારી આપી હોવાના પોસ્ટર સાથે સરકાર વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. ગેસ સિલિન્ડર આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના પોસ્ટર સાથે યુથ કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અને NSUIના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરીજે ગેસ મુદ્રા પર લાવવામાં આવ્યો છે તે જથ્થો ક્યાં જતો રહ્યો હોવાનો પણ યુથ કોંગ્રેસ દ્વારા સવાલ ઊભો કરવામાં આવ્યો છે તેમજ રાંધણ ગેસના સિલિન્ડર કોમર્શિયલમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. હોટલ બંધ થઈ ગઈ છે, નાગરિકોને ગેસ સિલિન્ડર નથી મળી રહી પરંતુ, અત્યારે સરકારના પેટનું પાણી હલતું ન હોવાથી અમદાવાદના 48 વોર્ડમાં ગેસની અછતને લઈને સરકારનો વિરોધ કરવાની પણ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાય રે મોંઘવારીના નારા લગાવી રસ્તો રોકવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અને NSUIના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
Explainer: મિડલ ઈસ્ટ યુદ્ધે ખતરનાક રૂપ ધારણ કર્યું! દુનિયાની એનર્જી લાઈફલાઈન પર ખતરો
US Israel Iran War: મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 20 દિવસના વાણા વીતી ગયા છે. મિલિટ્રી બેઝ અને નેતાઓ પર હુમલા સાથે શરૂ થયેલા આ યુદ્ધમાં હવે ટાર્ગેટ બદલાયા છે અને એનર્જી ફિલ્ડ મુખ્ય નિશાને બન્યા છે. હવે યુદ્ધમાં તેલ અને ગેસના કુવાઓ 'પ્રાઇમ ટાર્ગેટ' બની ગયા છે. પહેલા ઈરાનના ખર્ગ દ્વીપ પર હુમલો અને હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલો મોટો હુમલો દર્શાવે છે કે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાની દિશામાં પગલાં ભરી ચૂક્યા છે. વળતી કાર્યવાહીમાં હવે ઈરાન પણ એનર્જી સાઇટ્સને નિશાન બનાવી રહ્યું છે. ત્યારે જાણો કેવી રીતે આ જંગ હવે દુનિયા માટે એક મોટું સંકટ ઉભું કરી શકે છે.
મૂળ બગોદરાની રહેવાસી અને હાલમાં વટવા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા વટવા GIDCમાં નોકરી કરતી હતી, ત્યારે રિક્ષાચાલક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિણીતાના પ્રેમીને અન્ય મહિલા સાથે પણ પ્રેમ સંબંધ થયો હતો. જે બાબતે મહિલાએ પરિણીતાને તેના ઘર પાસે બોલાવી અને રિક્ષામાં બેસાડી તેના પ્રેમીને મળવાના બહાને લઇ ગઈ હતી. ચાલુ રિક્ષામાં મહિલાને માર માર્યો હતો. જાતિ વિષયક શબ્દો બોલીને કાતરથી વાળ કાપ્યા હતા. ગભરાયેલી પરિણીતાએ હવે હું વાતચીત નહીં કરું એમ કહેતા તેને પરત તેના ભાઈના ઘરે ઉતારી દીધી હતી. બાદમાં મહિલા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ સમગ્ર મામલે વટવા પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાના લગ્ન વર્ષ 2025માં થયા હતાશહેરના વટવા વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતા તેના ભાઈ સાથે રહે છે. વર્ષ 2025માં મહિલાના લગ્ન થયા હતા. જોકે, બે મહિના પહેલાં જ સાસરીવાળા તેને તેના મૂળ ગામે પીયરમાં મૂકી ગયા હતા. બાદમાં તેના ભાઈના ઘરે વટવા ખાતે રહેવા આવી ગઈ હતી. અઢી વર્ષ પહેલા વટવા GIDC ખાતે આવેલી જિંદાલ કંપનીમાં નોકરી કરવા જતી હતી. આ દરમિયાન પરિણીતાને એક રિક્ષાચાલક સાથે ઓળખાણ થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. રિક્ષાચાલકને ફોન કરતા અન્ય મહિલાએ ફોન ઉપાડ્યોદોઢ મહિના પહેલા ભારતી પટણી નામની મહિલા સાથે રિક્ષાચાલકની ઓળખાણ થઈ હતી. જેથી રિક્ષાચાલકે પરિણીતા સાથે વાતચીત કરવાનું ઓછું કરી નાખ્યું હતું. 14 માર્ચના રોજ પરિણીતાએ રિક્ષાચાલકને ફોન કરતા ભારતીએ ફોન ઉપાડીને કહ્યું કે, તમે કોણ બોલો... જેના જવાબમાં પરિણીતાએ પોતાની ઓળખ આપી હતી. જેથી ભારતીએ કહ્યું હતું કે, તું ક્યાં રહે છે. હું ત્યાં આવું છું એમ કહી એક મહિલા સાથે રિક્ષા લઈને ત્યાં આવી હતી. પરિણીતા સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો ભારતીએ જણાવ્યું હતું કે, અત્યારે હાલ રોપડા ખાતે હોવાથી ત્યાં જઈએ છીએ. તું પણ ત્યાં ચાલ અને તારી તેની સાથે વાત કરાવી દઈશું. ભારતી અને તેની સાથે તેની માસીની દીકરી પારૂલ પણ આવી હતી. તેઓ ત્રણેય રિક્ષામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન વટવા દુર્ગાનગર પાસે પહોંચતા જ ભારતીએ રિક્ષાચાલકને પ્રેમ કરતા હોવા બાબતે પરિણીતા સાથે બોલાચાલી શરૂ કરી હતી. ભારતીએ પરિણીતાને જાતિ વિષયક શબ્દો બોલી ગળા ઉપર તેને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. ભારતીએ કાતર વડે પરિણીતાના માથાના વાળ કાપ્યાપારૂલે પણ પરિણીતાને માર માર્યો હતો. બાદમાં હાથીજણ સર્કલ પાસે પહોંચતા જ ત્યાં રિક્ષા ઉભી રાખી હતી અને ભારતીએ કાતર કાઢી પરિણીતાના માથાના વાળ કાપવાની શરૂઆત કરી હતી. પરિણીતાએ વાળ કાપવાની ના પાડી હતી જેથી તેની સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં મોબાઈલ ફોન નીચે પડી ગયો હતો. બાદમાં ગભરાયેલી પરિણીતાએ હવે હું ફરી વાતચીત નહીં કરું તેમ કહેતા ફરીથી તેને વટવા ખાતે તેના ભાઈના ઘરે ઉતારીને જતા રહ્યા હતા. પરિણીતાની વટવા પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ફરિયાદગડદાપાટુના મારથી ઇજા થતા સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, પરિણીતાએ બે દિવસ બાદ આ સમગ્ર મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના ભાટ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક કોઠારી હોસ્પિટલ પાસે બે દિવસના બાળકને ત્યજી દેવાના કિસ્સામાં એરપોર્ટ પોલીસ દ્વારા માતાની ધરપકડ કરવામાં આવી છે. પાડોશી યુવક સાથે પ્રેમ સંબંધમાં મહિલા ગર્ભવતી થઈ હતી. મહિલાએ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો અને હોસ્પિટલમાંથી રજા આપવાની સાથે જ તેણે બાળકને કોઠારી હોસ્પિટલ પાસે આવીને પાણીપુરીની લારીમાં તે હજી દીધું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવીની તપાસ કરીજી ડિવિઝન એસીપી વી.એન.યાદવે જણાવ્યું હતું કે ભાટ ગામના ઇન્દિરા બ્રિજ પાસે આવેલી કોઠારી હોસ્પિટલ નજીક ત્રણ દિવસ પહેલા એક નવજાત શિશુ પાણીપુરીની લારીમાં મળી આવ્યું હતું. આ બાબતે પોલીસને જાણ થતા એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી કુટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. બે મહિલાઓ લારીમાં બાળકને ત્યજી જતી હોવાનું જોવા મળ્યું હતું. જેથી આસપાસમાં આવેલી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલના અલગ અલગ સીસીટીવી ફૂટેજીસ તપાસ્યા હતા જેમાં 17 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલમાં બાળક અને જન્મ આપી રજા લઈને જતી મહિલા જોવા મળી હતી. એક યુવક સાથે પ્રેમ સંબંધ હતોપોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલા અને ત્યજેલા બાળકની મહિલાની ઓળખ કરવામાં આવી હતી. જેમાં કુબેરનગર વિસ્તારમાં જ રહેતી મહિલા હોવાનું સામે આવ્યું હતું જે મહિલાની અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2010માં તેના છૂટાછેડા થયા હતા. હાલમાં તેને બે બાળકો છે. છૂટાછેડા બાદ તેને પાડોશમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને જેના થકી ગર્ભવતી બની હતી અને જે બાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો. જોકે સમાજમાં બદનામીના ડરે તેણે બાળકને જન્મ આપ્યા બાદ જ તરત જ ત્યજી દીધું હતું. ત્યજી દેવામાં આવેલું બાળક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તંદુરસ્ત છે. મહિલાની અટકાયત કરી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બાબતે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે રહેતો એક 24 વર્ષીય યુવાન છાણી નજીક કેનાલમાં ડૂબી ગયો હતો, જે અંગેનો કોલ ફાયર વિભાગને મોડી રાતે મળ્યો હતો. જો કે મોડીરાતે તેની લાશ મળી ન હતી. આજે સવારે ફાયર વિભાગે પુનઃ શોધખોળ આરંભી હતી, દરમિયાન યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. રાતે 12.30 વાગે યુવાન ડૂબ્યો હતોમધ્ય રાત્રિએ 12.30 વાગ્યાની આસપાસ આ યુવાન કેનાલમાં પડ્યો હતો, જેના પગલે કેનાલની આસપાસ લોકોની ભીડ પણ જમા થઈ હતી. દરમિયાન નોકરીએથી પરત ફરી રહેલા એક વ્યક્તિએ યુવાન કેનાલમાં પડ્યો હોવાની માહિતી ઇમરજન્સી સેવા 108 અને ત્યાર બાદ ફાયર વિભાગને જાણ કરી હતી. કોલ મળતા જ 108 અને ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. જો કે, રાતે મૃતદેહ મળ્યો ન હતો, જેથી સવારે પુનઃ શોધખોળ આરંભવામાં આવી હતી. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક નવાયાર્ડ વિસ્તારમાં રહેતો કૃણાલ પાર્થે હોવાનું જાણવા મળ્યું છે. રેલવેમાં નોકરી કરતા વ્યક્તિએ જાણ કરીરેલવે વિભાગમાં નોકરી કરતા સુરેશ રોહિત નામના વ્યક્તિ રાતે નોકરી પરથી પરત ફરી રહ્યા હતા, તેઓએ આ અંગેની જાણ કરી હતી. સુરેશ રોહિતના જણાવ્યા અનુસાર, તેઓ નોકરીથી ઘરે જઈ રહ્યા હતા, તે વેળા કેનાલ પાસે ચાર-પાંચ લોકો ઊભા હતા. તેઓએ કેનાલમાં એક યુવકને ડૂબતો જોયો હતો. તેમાં તેના મોબાઇલની લાઇટ પણ જોવા મળતી હતી, જેથી તેઓએ તાત્કાલિક 108 અને ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યાં ઉપસ્થિત કોઈને તરતા આવડતું ન હતું, ઉપરાંત કેનાલમાં પાણીનો પ્રવાહ પણ ખૂબ હતો, જેથી ત્યાં એકત્રિત થયેલા ટોળામાંથી કોઈએ કેનાલમાં ઝંપલાવવાની હિંમત કરી ન હતી. આજવા ગાર્ડન પાસે પણ કેનાલમાંથી મહિલાની લાશ મળીવડોદરા ફાયર વિભાગની ટીમને માહિતી મળી હતી કે, આજવા ગાર્ડન પાસે કેનાલમાં એક વ્યક્તિનો મૃતદેહ જણાઈ રહ્યો છે, જેના આધારે શોધખોળ કરતા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે ત્યારબાદ કેનાલમાં એક યુવતીનો પણ મૃતદેહ હોવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમે પુનઃ શોધખોળ આરંભી છે. જો કે આજે (19 માર્ચ) બપોર સુધીમાં કંઇ મળી આવ્યું ન હતું.
હળવદ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા દસ યુવાન પૈકી બે યુવાન ડૂબવા લાગ્યા હતા. આ ઘટના આજે બપોરના સમયે બની હતી. ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ માટે ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, હળવદ પાસે આવેલા કચ્છ ફ્રુટ માર્કેટમાં મજૂરી કરતા કુલ દસ યુવાન નર્મદા કેનાલમાં નહાવા ગયા હતા. તેમાંથી એક યુવાન પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતા અન્ય એક યુવાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ડૂબી ગયેલા યુવાનોના નામ પરાશરામ દમારામ જાટ (ઉંમર 20) અને રાજુરામ જાટ (ઉંમર 27) હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ હળવદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હળવદ પોલીસને પણ જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સુધી ડૂબી ગયેલા બંને યુવાનોનો કોઈ પત્તો લાગ્યો નથી અને તેમને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ચંદ્રુમાણામાં પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કાર્યક્રમ:શુદ્ધ ઉત્પાદન માટે જૂની દેશી ખેતી અપનાવવા ભાર
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે ગુરુવારે પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન સેન્ટર ફોર ઓર્ગેનિક એગ્રિકલ્ચર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ભવદીપ વ્યાસ અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર ગોવિંદભાઈ ઠાકોરે ખેડૂતોને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લિખિત 'પ્રાકૃતિક કૃષિ' પુસ્તકનું વિતરણ કર્યું હતું. ક્લસ્ટર ઇન્ચાર્જ બ્રિજેશ વ્યાસે માહિતી આપી હતી કે ચંદ્રુમાણા, ભલગામ અને માનપુર ગામના ક્લસ્ટરમાં હાલ 125 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અધિકારીઓએ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકારનું પ્રમાણપત્ર એ પ્રાકૃતિક ખેડૂતનો આધાર છે અને પ્રાકૃતિક ખેતી એ જૂની દેશી ખેતીનું જ બીજું નામ છે, જે તરફ આપણે પાછા ફરવું જોઈએ. અધિકારીઓએ વિવિધ ખેડૂતો સાથે વાતચીત કરીને જાણકારી મેળવી હતી. સરકાર પ્રાકૃતિક ઉત્પાદનોને પોષણક્ષમ વળતર મળી રહે તે માટે પ્રમાણપત્રના આધારે ઈ-નામ પોર્ટલ ઉપરથી સીધું માર્કેટિંગ કરી શકાય અને અલગથી હરાજી થાય તેવી વિચારણા કરી રહી છે. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, ભીખુભાઈ પટેલ, અમરતભાઈ દેસાઈ, નીતિનભાઈ વ્યાસ, વિરેશ ડી. વ્યાસ, ગ્રામસેવક વિપુલભાઈ સોલંકી અને કૃષિ સખી ધર્મિષ્ઠાબેન વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કલોલ તાલુકાના રાચરડા ગામ પાસે આવેલ ભગવતી ફાર્મમાં તસ્કરોએ ધોળા દિવસે ખાતર પાડી અંદાજે 2.80 લાખની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ફાર્મ હાઉસની રખવાળી કરતા ચોકીદારના બંધ મકાનમાં જ તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપતા સાંતેજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતુંકલોલના રાચરડા ગામ પાસે આવેલ ભગવતી ફાર્મ હાઉસમાં સુરેશકુમાર અંબાલાલ સેનમા વર્ષ 2016 થી પરિવાર સાથે રહી ચોકીદારી કરે છે. ગત 11મી માર્ચે સવારે તેઓ પુત્ર અરૂણને પરીક્ષા અપાવવા કલોલ ગયા હતા અને તેમની પત્ની આંબાવાડી ખાતે મકાનકામ માટે ગયા હતા. બપોરે બે વાગ્યે પરીક્ષા પૂર્ણ કરી જ્યારે પિતા-પુત્ર ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. જોકે પુત્રની કારકિર્દીનો સવાલ હોવાથી અને તેની પરીક્ષાઓ ચાલુ હોવાથી સુરેશભાઈએ તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. દાગીના-રોકડ મળી 2.80 લાખની મત્તા ચોરી ગયા હતાપુત્રની પરીક્ષા પૂર્ણ થતા તેમણે ફરિયાદ નોંધાવી છે કે,તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલી તિજોરીના લોક તોડી નાખ્યા હતા. તિજોરીમાં રહેલા કપડાં વેરવિખેર કરી અંદર રાખેલા સોનાચાંદીના દાગીનાના બોક્સ નીચે ફેંકી દીધા હતા. તસ્કરો સોનાની બુટ્ટી, સોનાની ચુની, સોનાની ગળાની તકતી તેમજ ચાંદીની સેરો, ચાંદીનો ચોટલો, પગના વેઢ, સિક્કા, જુડો અને મંગળસૂત્ર સહિતના અંદાજે 2.78 લાખના દાગીના અને 2 હજાર રોકડા મળી કુલ રૂ.2.80 લાખની મત્તા ચોરી ગયા હતા.
વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી અશાંતિ અને તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ભારત દેશમાં શાંતિ જળવાઈ રહે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવા ઉમદા હેતુ સાથે વડોદરામાં એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, પાટીદાર દ્વારા 22 માર્ચ, રવિવારના રોજ વડોદરાના વેમાલી ગરબા ગ્રાઉન્ડ ખાતે માતાજીની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ભક્તિમય કાર્યક્રમોની રૂપરેખાવડોદરાના સમા-સાવલી રોડ પર આવેલા વેમાલી ગરબા ગ્રાઉન્ડમાં સાંજે 5:00 થી 9:00 કલાક દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની શરૂઆત બપોરે 3:00 વાગ્યાથી ભજન મંડળ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5:00 વાગ્યા સુધી બહુચર માતાજીનો આનંદનો ગરબો ગવાશે. ભક્તોમાં ઉત્સાહ જગાડવા માટે હનુમાન ચાલીસાના સમૂહ પાઠ અને ત્યારબાદ સાંજે 6:45 થી 7:15 કલાક દરમિયાન હજારો દીવડાઓ સાથે માં ઉમિયાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે રાત્રે 7:45 સુધી માતાજીના ગરબાની રમઝટ જામશે. સંગઠનની મજબૂત તૈયારીઓઅમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું ઉમિયાધામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. આ કાર્યક્રમની સફળતા માટે ફાઉન્ડેશનના પ્રણેતા આર પી પટેલ, યુવા સંગઠનના ચેરમેન ચિરાગભાઈ પટેલ, સામાજિક સંગઠનના ચેરમેન પિનાકિનભાઈ પટેલ અને જિલ્લા કન્વીનર દિપકભાઈ પટેલ સહિતની ટીમે વડોદરા કાર્યાલય ખાતે બેઠક યોજીને આખરી ઓપ આપ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિઆ પ્રસંગે માર્ગદર્શક તરીકે આર પી પટેલ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે યુવા સંગઠનના ચેરમેન જીતુભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ પટેલ, યુવા સંગઠનના મહામંત્રી સુરેશભાઈ કે પટેલ, કિસાન મોરચાના મહામંત્રી મિહિરભાઈ પટેલ અને યુવા મોરચાના મહામંત્રી રોનકભાઈ પટેલ હાજરી આપી ભક્તોનો ઉત્સાહ વધારશે.

26 C