રેલ્વે વિભાગનો નિર્ણય:ભુજ-અમદાવાદ નમો ભારત મેન્ટેનન્સમાં જશે, પ્રવાસીઓ માટે મેમુ ટ્રેન દોડાવાશે
ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ આગામી થોડા દિવસો માટે પાટા પર જોવા નહીં મળે. આ ટ્રેનને તેના મુખ્ય મેન્ટેનન્સ માટે મોકલવામાં આવનાર હોવાથી રેલવે વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા જળવાઈ રહે તે હેતુથી તેના સ્થાને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. સપ્ટેમ્બર 2024થી કાર્યરત આ અત્યાધુનિક ટ્રેનને રેલવેના નિયમ મુજબ ચોક્કસ સમયગાળે ઊંડાણપૂર્વક તપાસ અને જાળવણી માટે મોકલવી અનિવાર્ય છે. સામાન્ય રીતે દર શનિવારે અમદાવાદ ખાતે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ થતું હોય છે, પરંતુ આ વખતે મુખ્ય મેન્ટેનન્સ માટે ટ્રેન મોકલવામાં આવશે. આ પ્રક્રિયામાં અંદાજે 15 થી 20 દિવસ જેટલો સમય લાગવાની શક્યતા હોવાથી રેલવેએ પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે આ રૂટ પર નોન-એસી સુપરફાસ્ટ મેમુ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે ભુજથી નમો ભારત રવાના થયા બાદ સાંજે અમદાવાદથી તેના બદલામાં મેમુ ટ્રેન ભુજ આવવા રવાના થશે. જોકે, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ટ્રેનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરાયો નથી. મેમુ ટ્રેન પણ નમો ભારતના નિર્ધારિત સમયે ભુજથી સવારે ઉપડીને 10.50 કલાકે અમદાવાદ અને સાંજે 5.25 કલાકે અમદાવાદથી ઉપડી રાત્રે 11 કલાકે ભુજ પરત ફરશે. આ વૈકલ્પિક મેમુ ટ્રેન નોન-એસી હોવાથી તેના ભાડામાં ઘટાડો જોવા મળશે.જોકે, સુપરફાસ્ટ હોવાથી તે મુજબના ચાર્જ લાગુ પડશે. નમો ભારતમાં 12 કોચની સામે મેમુ ટ્રેનમાં 8 કોચ રહેશે. રેલવે વિભાગ દ્વારા પ્રવાસીઓને આ કામચલાઉ ફેરફારની નોંધ લેવા અને સહકાર આપવા અપીલ કરાઈ છે.
ભાસ્કર એક્સપોઝ:ગૂગલ મેપ પર ‘અહીં પોલીસ હેરાન કરે છે’ના પણ ટેગ !
આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે તાલમેલ બેસાડવામાં માનવી પારંગત બની ગયો છે. રોજિંદા જીવનમાં ડિજિટલ સાધનોનો વ્યાપક ઉપયોગ હવે સામાન્ય બાબત બની છે. એનું અનોખું ઉદાહરણ હાલ ગૂગલ મેપ્સ પર જોવા મળી રહ્યું છે. કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ ગૂગલ મેપ પર યુઝર્સ દ્વારા જે તે સ્થળે પોલીસ દ્વારા ચેકીંગ કરાતી હોય તેવા સ્થળો પર ટેગ મારવામાં આવ્યા છે. જેમાં ભુજ ખાતે મુક્તજીવન સ્વામી બાપા સર્કલ અને આત્મારામ સર્કલ પાસે ‘અહીંયા પોલીસ ઉભી રહે છે’ એવા ઉલ્લેખ છે, જ્યારે માધાપર પોલીસ ચોકી નજીક ‘અહીંયા ટ્રાફિક પોલીસ ટુ-વ્હીલર ચાલકોને રોજ હેરાન કરે છે’ જેવી નોંધ જોવા મળે છે. સામાન્ય રીતે મુસાફરો ટ્રાફિક જામ, અકસ્માત અથવા રસ્તાની ખરાબ સ્થિતિ જેવી માહિતી ગૂગલ મેપ પર અપડેટ કરતા હોય છે પરંતુ હવે તેમાં એક નવો ટ્રેન્ડ ઉમેરાયો છે. કોઈ ચોક્કસ સ્થળે નિયમિત રીતે ઉભી રહેતી પોલીસ અથવા અચાનક ચેકિંગ અંગે પણ યુઝર્સ પોતે જ ટેગ કરીને અન્ય વાહનચાલકોને સચેત કરી રહ્યા છે. જોકે, જરૂરી દસ્તાવેજો, હેલ્મેટ અને નિયમોનું પાલન કરતા વાહનચાલકો માટે પોલીસ કોઈ અવરોધરૂપ બનતી નથી પરંતુ કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા થતી ખોટી ઉઘરાણી અંગે પણ લોકો ખુલ્લેઆમ ગૂગલ મેપ પર નોંધ કરી રહ્યા છે. કચ્છ નહીં, સમગ્ર ગુજરાતમાં ટ્રેન્ડઆ પ્રવૃત્તિ માત્ર કચ્છ પૂરતી સીમિત નથી. ગુજરાતમાં અનેક શહેરોમાં આવી ટેગિંગ જોવા મળે છે. રાજકોટ જિલ્લામાં ‘અહીં તોડ પાણી થાય છે’ જેવા વાંધાજનક ઉલ્લેખ છે. કોડીનારમાં ‘અહીં કટકી થાય છે’, તો અમદાવાદ ખાતે ‘અહીં રોજ રોકડી કરવા ઊભા રહે છે’ જેવા ટેગ લગાડેલા છે. સુરતના કતારગામમાં ‘અહીંયા સિગ્નલ બંધ હોય ત્યારે પોલીસ પૈસા લે છે’ અને સુરત શહેરમાં ‘અહીં રોજ સવારે ઉઘરાણી વાળા ઊભા રહે છે’ જેવા ઉલ્લેખો પણ નોંધાયા છે. ટેક્નોલોજીનો આ ઉપયોગ પોલીસ પ્રત્યેની અવિશ્વાસની અભિવ્યક્તિ? કે પછી સો. મીડિયા પર લોકોની સ્વચ્છંદતા? એ પ્રશ્ન ચર્ચાસ્પદ છે. અગાઉ ભાસ્કરે ગૂગલ મેપ્સ પર ‘દેશી દારૂ અડ્ડા’ના લોકેશન એક્સપોઝ કર્યા હતાગૂગલ મેપ પર સત્તાવાર રીતે સૂચિબદ્ધ થયેલા ભુજ શહેરના એક સ્થળને ગત સપ્ટેમ્બર મહિનામાં એક્સપોઝ કરવામાં આવ્યો હતો. જે સ્થળ ગૂગલ મેપ પર ‘દેશી દારૂ અડ્ડા’ અને ‘દેશી દારૂ હપ્તાવાળા’ તરીકે જોવા મળતો હતો. સમાચાર પ્રકાશિત થયાના 24 કલાક અંદર જ તે સ્થળના નામો ગૂગલ મેપ પરથી કાઢી નાખવામાં આવ્યા હતા.
હોળી-ધુળેટીએ શહેરમાં દારૂ ઘૂસાડવા બૂટલેગરો સક્રિયા થયા છે. હાઇવે બાદ દારૂની હેરાફેરી માટે ટ્રેન હવે સેફ પેસેજ બની રહી છે. ટ્રેન દ્વારા શહેરમાં દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક શરૂ થયું છે. દારૂબંધીના દંભ વચ્ચે ભ્રષ્ટ પોલીસ તંત્રના પાપે ખુલ્લેઆમ ટ્રેનો દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર દારૂ ઊતરે છે. તે પછી રિક્ષા અને કાર દ્વારા જુદા-જુદા અડ્ડા પર દારૂ પહોંચાડાય છે. દારૂ ભરેલી દરેક ટ્રાવેલ બેગ પર સપ્લાયર અરવિંદ ‘AR’ સિમ્બોલ બનાવી મોકલે છે. આ સિમ્બોલ જોઈને પોલીસ પણ તે બેગને હાથ લગાવતી નથી. ફિલ્મી સ્ટાઇલમાં વર્ચસ્વ મોટું કરવા અને નામ બનાવવા વિશેષ સિમ્બોલ લગાવી પોલીસના નાક નીચેથી દારૂ સપ્લાય કરાય છે. ટ્રેનો દ્વારા શહેરમાં રોજ 24 લાખનો દારૂ પહોંચી રહ્યો છે. બૂટલેગરોના આ મજબૂત નેટવર્કનો ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો. મોડી રાત્રે અને બપોરે પણ પ્લેટફોર્મ નં-6 અને 1 પરથી દારૂ ભરેલી બેગો સપ્લાય કરાઈ રહી છે. રોજની લગભગ 300 પેટી એટલે રૂા.24 લાખની કિંમતના દારૂની હેરાફેરી થઈ રહી છે. હપ્તાખોરીના નશામાં પોલીસે પણ આ દારૂની બેગો સામે આંખે પાટા બાંધી લેતાં બૂટલેગરો બિન્ધાસ્ત બન્યા છે. વાપીથી ટ્રેનોમાં દારૂની બેગો ભરી વડોદરા મોકલાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બે અઠવાડિયાં પહેલાં રેલવે સ્ટેશન પરથી આ પ્રકારની બેગોમાંથી દારૂ પકડી પાડ્યો હતો. જોકે સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ હજી સપ્લાય બંધ થયો નથી. વડોદરાનો બૂટલેગર રિયાઝ શેખ ડર વિના નેટવર્ક ચલાવે છે. એસએમસીના દરોડામાં તે વોન્ટેડ હતો, જોકે હજી પોલીસ તેના સુધી પહોંચી શકી નથી. ઉલ્લેખનીય છે કે, વાપીથી મોટાપાયે વિવિધ જિલ્લામાં દારૂ પહોંચાડાઈ રહ્યો છે. રૂ.200ના રિક્ષા ભાડામાં ગોડાઉન સુધી દારૂની ડિલિવરી 1 બેગમાં 36 મોટી બોટલ કે 144 ક્વાર્ટર આવે છે દમણિયા દારૂની સિન્ડિકેટ રીયાઝનું નેટવર્કટ્રેન મારફતે જ્યારે દારૂની બેગો રેલવે સ્ટેશન પર પહોંચે છે ત્યારે એક બેગ સાથે એક વ્યક્તિ હોય છે. જોકે તે બેગને કૂલીઓ મારફતે બહાર પહોંચાડવામાં આવે છે. મુસાફરોથી ભરચક પ્લેટફોર્મ નં.1 અને 6 પરથી રેલવે સ્ટેશન બહાર ઊભેલી રિક્ષા અને કારમાં દારૂ પહોંચાડાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગત તા.13 ફેબ્રુઆરીએ વડોદરા રેલવે સ્ટેશન પરથી જ પ્રકારની બેગોમાંથી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસને આ અંગે જાણ હોવા છતાં ફરીથી બૂટલેગરો તે જ બેગમાં દારૂ મોકલી રહ્યા છે. એક પ્રકારની જ એમઓથી બૂટલેગરો દારૂ સપ્લાય કરી રહ્યા છે. કોઈને છોડવામાં આવશે નહીં, જેની પણ સંડોવણી હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરાશે અને કોઈને છોડવામાં આવશે નહીં. તથ્યો જાણીને પોલીસ કાર્યવાહી કરશે. અન્ય કોઈની પણ સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે. અભય સોની, એસપી, રેલવે વડોદરા
રખડતી ગાયે મારી ટક્કર:અકોટામાં પાછળથી આવેલી ગાયે ભેટી મારતાં 9 વર્ષનો બાળક ઘાયલ
અકોટા ખાતે આવેલા આવાસ યોજનામાં રહેતા 9 વર્ષના બાળકને ગાયે ભેટી મારતા તેને મોઢા પર ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેને પગલે બાળકને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બાળકને ટૂંકી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. શહેરમાં રખડતી ગાયને કારણે ગત વર્ષે અનેક અકસ્માત થઈ ચૂક્યા હતા. જેમાં નવેમ્બર મહિનામાં એક યુવકનું મોત પણ થઈ ચૂક્યું હતું.ત્યારે અકોટા ગામમાં ગાયે એક 9 વર્ષના બાળકને ભેટી મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકોટાના રામપુરામાં આવેલા આવાસમાં રહેતો 9 વર્ષીય અનશ નિશારખાન રવિવારે તેના મિત્રો સાથે ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે રાત્રીના 10 વાગ્યાના આસપાસ એક ગાય દોડતી આવી હતી અને અનશને ભેટી મારી હતી. જેના કારણે તે મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેના હોંઠ ફાટી ગયો હતો. અકસ્માતને પગલે બાળકને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોઠના અંદરના ભાગે 5 ટાંકા આવ્યા હતા. એક વર્ષ પહેલાં આ સ્થળ પર બાળકીને ગાયે ભેટી મારી હતીઅનશના ભાઈ સોનુ ખાને જણાવ્યું હતું કે, મારો ભાઈ અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. જ્યારે ગાય દોડતી-દોડતી આવી ત્યારે અન્ય બાળકો હટી ગયા પણ મારો ભાઈ હટી ન શક્યો. કારણ કે, ગાય તેની પીઠ તરફથી આવી હતી. જેના કારણે તેને જાણ ન થઈ અને તે હટી ન શક્યો. 1 વર્ષ પહેલા પણ અહીંયા આવી ઘટના બની હતી. 1 વર્ષ પહેલા અમારી ત્યા મહેમાન આવ્યા હતા ત્યારે તેમની 9 વર્ષની બાળકીને ગાયે ભેંટી મારતા તેને પણ ઈજા પહોંચી હતી.
ભાસ્કર ઇમ્પેક્ટ:સમા-છાણી કેનાલ રોડ ઉપર બનેલા વાંસના 15 ફૂટ લાંબા 2 બ્રિજ તોડાયા
શહેરના સમા-છાણી કેનાલ રોડ પર સરકારી જગ્યામાં ઊભા કરાયેલા 100 થી વધુ ઝૂંપડાઓ તરફ જવા સાયકલ ટ્રેક પાસે વાંસના બ્રિજ બનાવ્યા હતા. ભાસ્કરના અહેવાલના પગલે પાલિકાની દબાણ શાખાએ બંને બ્રિજને હટાવી વાસના લાકડા કબજે લીધા હતા. શહેરના સમા-છાણી કેનાલ પર ₹10 કરોડના ખર્ચે સાઇકલ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે સાયકલ ટ્રેક બને તે પૂર્વે નજીકમાં આવેલી સરકારી જગ્યા પર 100થી વધુ ઝૂંપડાઓ ઊભા થયા હતા. આશ્ચર્યજનક બાબત એ હતી કે, સમા-છાણી કેનાલ રોડ પર વરસાદી કાંસ પર વાંસના બામ્બુથી બે મજબૂત પુલ બનાવ્યા હતા. પુલ મારફતે ઝૂંપડાવાસીઓ અવર-જવર કરતા હતા. એટલું જ નહીં દિવસ દરમિયાન ટ્રેક પર રિક્ષાઓ, ભંગાર અને કાટમાળનો જમાવડો જોવા મળતો હતો. આ સંદર્ભે નહેર વિભાગે પોલીસ અને પાલિકાને અરજી પણ કરી હતી. જોકે 34 દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રોજબરોજ આ બ્રિજનો ઉપયોગ થતો હતો અને તંત્રને ફરિયાદ પણ કરી હોવા છતાં અસરકારક પગલાં ભરવામાં આવ્યાં ન હતાં. અંતે ભાસ્કરે આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ પાલિકાની દબાણ શાખાની ટીમે સોમવારે સમા-છાણી કેનાલ પર ઝૂંપડા વાસીઓને અવર-જવર કરવા માટે બનાવેલા બામ્બુના બે બ્રિજને તોડી પાડ્યા હતા. બંને બ્રિજને હટાવી લાકડા જપ્ત કર્યા હતા.
બાજવા ખાતે રહેતો યુવક પોતાના શેઠનું ટ્રેક્ટર લઈને સાવલીના રાણીયાથી બાજવા જઈ રહ્યો હતો. ત્યારે યુવકના સગીર ભાઈએ ટ્રેક્ટર ચલાવવા માગતા યુવકે ટ્રેક્ટર ભાઈને ચલાવવા આપ્યું હતું અને તે સગીરની બાજુમાં બેઠો હતો. આ દરમિયાન પદમલા નજીક સર્વિસ રોડ પર બમ્પર હોવાથી સગીરે શોર્ટ બ્રેક મારતા યુવક રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને માથાના ભાગે ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. બાજવા ખાતે રહેતો 20 વર્ષનો બાદલ વિરીયાભાઈ વિસરતા તેના શેઠનું ટ્રેક્ટર લઈને સામાન મૂકવા માટે રાણીયાથી બાજવા જઈ રહ્યો હતો. આ દરમિયાન બાદલ સાથે તેનો 16 વર્ષનો ભાઈ શિવરાજ નિસરતા પણ હતો. બાજવા સામાન મૂકીને તેઓ ફરી રાણીયા પરત જઈ રહ્યો હતો. બાજવા રવિવારી બજારમાં ખરીદી કરીને રાત્રીના 12 વાગે તેઓ ફરી રાણીયા તરફ જઈ રહ્યા હતા. મોડી રાત હોવાથી શિવરાજે ટ્રેક્ટર ચલાવવા માગ્યું હતું. શિવરાજે 2થી 3 વાર ટ્રેક્ટર ચલાવ્યું હતું અને રાતનો સમય હોવાથી બાદલે ટ્રેક્ટર ચલાવવા આપ્યું હતું. આ દરમિયાન બાદલ શિવરાજની બાજુમાં બેઠો હતો. જ્યારે તેઓ રણોલી ગામ પાસે પહોંચ્યા ત્યારે હાઈવે હોવોથી શિવરાજે ટ્રેક્ટર સર્વિસ રોડ પર લઈ લીધું હતું અને રોંગ સાઈડ પરથી પમદલા તરફ જઈ રહ્યો હતો. પદમલા બ્રિજ નજીક સર્વસ રોડ પર બમ્પ હોવાથી અને પથ્થરના ઢગલા હોવાથી શિવરાજે શોર્ટ બ્રેક મારી હતી. જેના કારણે બાદલ રોડ પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતા. 108ના મારફતે તેને સયાજી હૉસ્પિટલમાં ખસેડાતા તબીબે બાદલને મૃત જાહેર કર્યો હતો.
વડોદરા સ્થિત મનોદિવ્યાંગ બાળકો માટે કાર્યરત અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા.1 માર્ચના રોજ વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની થીમ તરંગ 26-વસુધૈવ કુટુંબકમ હતી. આ થીમ દ્વારા આ વિશેષ ક્ષમતાઓ ધરાવતા બાળકોએ તેમના અભિનયથી બધાને પ્રેમ, એકતા, શાંતિ, સમભાવ રાખવાનો સંદેશ આપ્યો હતો. વિશ્વના અલગ અલગ દેશોના નૃત્ય કરી તેઓ દુનિયાને એક જ મેસેજ આપે છે કે ભલે દેશ અને સંસ્કૃતિ અલગ હોઈ પણ બધાના ભાવ જો એકજ હોઈ, પ્રેમ અને એકતાનો, તો વિશ્વમાં શાંતિ હંમેશા રહે. મુખ્ય અતિથિ તરીકે પ્રિતિ પટેલ અને અમિત ગોરાડિયા હાજર રહ્યા હતા. ખાસ વિદ્યાર્થીઓએ વાર્ષિકોત્સવમાં ભાગ લીધો અને મંચ પર તેમનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપ્યુ હતું. તેમની પ્રતિભાએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
શત્રુંજય ભાવયાત્રા યોજાઇ:અલકાપુરી અને છાણીમાં જૈન તીર્થમાં ભક્તોએ ભાવયાત્રા કરી
જૈનો ભારતભરમાંથી ફાગણ સુદ તેરસના દિવસે પાલિતાણામાં શત્રુંજય ડુંગરની પરિક્રમા કરવા આવે છે. આજના દિવસે શામબ અને પ્રદ્યુમ્ન સાથે 8.5 કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા. ચંદન તલાવડીમાં 21 લોગસસનો કાઉસસગ કરવાનો હોય છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, અલકાપુરી જૈન સંઘમાં પણ શત્રુંજયનો પટ બાંધી બધાએ ચૈત્યવંદન તથા 21 ખમાસમણ આપી વિધિ કરી હતી. ભક્તોને સંઘના પ્રવિણાબેન મહેતા આધના ભવનમાં પાલની ભક્તિ કરાઈ હતી. ભાસ્કર નોલેજવડોદરાથી બહોળી સંખ્યામાં જૈનો પાલિતાાણા પહોંચ્યાપાલિતાણા ખાતે વડોદરાથી મોટી સંખ્યામાં જૈનો પહોંચ્યા હતા. પાલિતાણામાં 400થી 500 ફૂડ સ્ટોલ આ દિવસે કાર્યરત થાય છે. ફૂડ સ્ટોલ ઉપર મફત જમવાની સુવિધા આપવામાં આવતી હોય છે.
આર્ટઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા હતા.વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા 5 હજારથી વધુ ભક્તોને મળ્યા હતા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ સુરત અને અમદાવાદમાં તેમની ઉપસ્થિતિમાં યોજાયેલા સોકિંગ ઇન બ્લિસ કાર્યક્રમમાં 12હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ વર્ગોના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી. વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમમાં અમેરિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને મેક્સિકોથી આવેલા આંતરરાષ્ટ્રીય સાધકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વાસદમાં એક સત્સંગ દરમિયાન ગુરુદેવે ભગવાન કૃષ્ણનું ઉદાહરણ આપી જવાબદારીને હળવાશથી વહન કરવાની વાત સમજાવી હતી. ભગવાન કૃષ્ણ સમગ્ર વિશ્વની જવાબદારી વહન કરે છે, છતાં તેમના મસ્તક પરનો રંગબેરંગી મોરપીંછનો મુકુટ ક્યારેય ભારરૂપ લાગતો નથી. સમગ્ર વિશ્વની જવાબદારી હોવા છતાં વ્યક્તિ હંમેશાં હસતાં અને હળવાશથી રહી શકે છે. જાણો કે તમારી જવાબદારીઓ તમે એકલા નથી વહન કરતા. કોઈ શક્તિ તમને સહારો આપી રહી છે. તેમણે આશ્ચર્યભાવને આધ્યાત્મિક ગુણ તરીકે વર્ણવતાં કહ્યું કે તે મનને તાજું અને હૃદયને ખુલ્લું રાખે છે.
હોળીના દિવસે પાલિકાની ખોરાક શાખાની ટીમે નમૂના લેવાની કાર્યવાહી કરી હતી. વાડી અને ચોખંડીમાં ધાણી, ખજૂર, ઘઉંની સેવ અને હારડા સહિતની વસ્તુઓના 20થી વધુ નમૂના લઇ તેને તપાસ માટે મોકલ્યા હતા. ચોખંડી વિસ્તારમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય ખજૂરનો જથ્થો જણાતાં તેને ડોર ટુ ડોરના વાહનમાં નાખી નાશ કરાયો હતો. હોળી પર્વને ધ્યાનમાં રાખી ખોરાક શાખાની ટીમે ધાણી, ખજૂર, હળદરવાળા ચણા, હારડા સહિતની વસ્તુઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. ખોરાક શાખાની 3 ટીમોએ અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાડી અને ચોખંડી વિસ્તારમાં રોડ પર પથારા-લારી અને દુકાનમાં વેચાતી ખાદ્ય ચીજોના નમૂના લીધા હતા. ચોખંડીમાં લારી પર વેચાતા ખજૂરનો જથ્થો શંકાસ્પદ જણાતાં ચેકિંગ કરાયું હતું. જેમાં તે અખાદ્ય જણાતાં અંદાજિત 30 કિલો જેટલો જથ્થો ડોર ટુ ડોરના વાહનમાં નાખી તેનો નાશ કર્યો હતો. ચોખંડી-વાડીમાં ખુલ્લામાં વેપલો, તંત્રનાં આંખ મીંચામણાંશહેરમાં અનેક વિસ્તારમાં ખોદકામ કરવાને કારણે હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. બીજી તરફ વાહનો વધવા સાથે રોડ પર ટ્રાફિક વધતાં પ્રદૂષણ વધ્યું છે. તેવામાં લારી-ગલ્લા અને પથારા પર ખુલ્લામાં ધાણી, ખજૂર, ચણા અને હારડાનું વેચાણ કરાઈ રહ્યું છે. ખોરાક શાખાએ ચેકિંગ તો કર્યું પણ ખુલ્લામાં વેચાતી ખાદ્ય ચીજોને રોકવામાં નિષ્ફળ સાબિત થયા છે. રોડ પર ખુલ્લામાં ખાદ્ય ચીજોનું વેચાણ થતું હોવા છતાં ખોરાક શાખાની ટીમ જાણે આંખ મિંચામણાં કરી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે.
ખાડા રાજથી હેરાનગતિ:નિઝામપુરામાં ખાડામાં કારનું ટાયર ફસાયું,ક્રેનથી કાઢવું પડ્યું
શહેરમાં પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટરની કામગીરી માટે ઠેર ઠેર 35 જેટલા રોડ ખોદી કાઢવામાં આવ્યા છે. તેવામાં નિઝામપુરા રોડ પર જેસીબીથી ખોદેલા ખાડાની આસપાસ બેરિકેડ ન હોવાથી એક કારનું ટાયર ફસાયું હતું, જેને કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. શહેરમાં પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટર નાખવા માટે પાલિકાએ 35થી વધુ રોડ પર ખોદકામ કર્યું છે અને વિવિધ રોડ બંધ કર્યા છે. જેને કારણે પહેલેથી જ નાગરિકો પરેશાન છે. નિઝામપુરા રોડ પર સોમવારે સવારે જેસીબી મશીનથી મદદથી ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે આ ખાડો ખોદ્યા બાદ તેની આસપાસ બેરિકેડ મૂકવામાં આવ્યું ન હતું. ત્યાં પાર્ક કરેલી કાર ચાલકે રોડ પર લેતાં જ એકાએક ટાયર ખાડામાં ફસાયું હતું. ચાલકે ટાયરને કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ન નીકળતાં આખરે ક્રેઈન બોલાવવી પડી હતી. ક્રેઈનની મદદથી આખરે કારને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
વડોદરા ઝોનની ફી રેગ્યુલેશન કમિટીએ વિબગ્યોર ઈન્ટરનેશનલ સ્કૂલની જે ફી નક્કી કરી હતી તેને રાજ્ય સરકારની ફી રિવિઝન કમિટીએ યથાવત્ રાખી છે. સ્કૂલે 3 વર્ષમાં જે વધારાની ફી લીધી છે તે પાછી આપવી પડશે. એફઆરસીએ નક્કી કરેલી ફી 1 માસમાં લાગુ કરવા સ્કૂલને આદેશ કર્યો છે. વડોદરા એફઆરસીના અધિકારીએ કહ્યું કે, 2024 થી 2026 માટે એફઆરસીએ વિબગ્યોર સ્કૂલની ફી નક્કી કરી હતી. જેની સામે સ્કૂલ સંચાલકોએ રાજ્યની ફી રિવિઝન કમિટી સમક્ષ અપીલ કરી હતી.જોકે કમિટીએ ફેરફારનો ઈનકાર કરી વડોદરા ઝોનના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. સ્કૂલે 3 વર્ષમાં લીધેલી વધારાની ફી પાછી આપવી પડશે. આ ફીનો આંકડો કરોડોમાં પહોંચશે. વર્ષ 2024-25માં ધોરણ 1ની રૂા.85,500 ફી નક્કી કરી હતીએફઆરસીએ 2024-25માં ધો.1ની 85,500, ધો. 5ની 88,800, ધો. 8ની 94,300, ધોરણ 10ની 97,700 ફી નક્કી કરી હતી. 2024માં 2 લાખ અને 2025માં 10 લાખ દંડ પણ ફટકાર્યો હતોએફઆરસીએ નક્કી કરેલી ફી લાગુ ન કરવા બદલ વિબગ્યોર સ્કૂલને 2024માં 2 લાખ અને 2025માં 10 લાખ દંડ ફટકાર્યો હતો. ભાસ્કર ઇનસાઇડડીઇઓ અને ડીપીઓને પણ આદેશ કરાયોરાજ્યની ફી રિવિઝન કમિટી પાસે પહોંચેલી વિબગ્યોર સ્કૂલને વડોદરા ઝોનનો આદેશ યોગ્ય હોવાનો ઓર્ડર કરાયો છે. સાથે જો સ્કૂલ એક મહિનામાં આ ફી લાગુ નહીં કરે તો સ્કૂલ સામે ડીઈઓ અને ડીપીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે. ઓર્ડરની કોપી ઇ-મેલના માધ્યમથી સ્કૂલે વડોદરા ઝોનની એફઆરસી સહિત ડીઈઓ અને ડીપીઓને મોકલવો પડશે.
લાખો લિટર પાણીનો વેડફાટ થયો:ખોડિયારનગર રોડ પર લાઇનમાં ભંગાણ, રોડ ચીરી પાણી દબાણ સાથે બહાર આવ્યું
ખોડિયાર નગર અને તેની આસપાસ પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે તેવામાં ન્યૂ વીઆઇપી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ નજીક લાઈનમાં ભંગાણ સર્જાતાં રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. લાઇનમાં ભંગાણ પડ્યા બાદ પ્રેશર વધુ હોવાથી રોડ ચીરીને પાણી બહાર આવ્યું હતું અને ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડિયારનગર, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરથી મળતું હોવાની ફરિયાદો ઊઠી રહી છે. બીજી તરફ આ તમામ વિસ્તારોમાં રોજ ટેન્કરથી પાણી અપાતું હોવાથી તંત્રની કામગીરી સામે સવાલો ઊઠે છે. ન્યૂ વીઆઇપી રોડ પર લાઈનમાં ભંગાણ પડતાં પાણીનો વેડફાટ થયો હતો. યૂથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાએ કહ્યું કે, એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર તરફ જતા રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ સામે પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. પાણી એટલા પ્રેશરથી નીકળ્યું કે રોડમાં તિરાડ પડી હતી. ભંગાણને કારણે તળાવ ભરાવવા જેવી સ્થિતિ થઈ હતી. જેથી પાલિકાના અધિકારીઓની બેદરકારી સામે કાર્યવાહી કરાય તેવી માગ ઊઠી હતી.
ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધને પગલે વડોદરાથી ઉનાળુ વેકેશનમાં દુબઈ સહિતના સ્થળે ફરવા જનારા લોકો મૂંઝવણમાં મૂકાયા છે. જેમનાં બુકિંગ થઈ ગયાં છે તેઓ હવે અટવાયા છે. ટુર ઓપરેટરો વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવીને યુદ્ધની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસો.ના 110 સભ્યો છે, જેમના મતે યુદ્ધની સ્થિતિમાં નાગરિકોમાં ભયનો માહોલ છે ત્યારે અસમંજસભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાંથી બોર્ડની પરીક્ષા બાદ અંદાજે 2 હજાર લોકો દુબઇ અને યુરોપની ટુર પર જતા હોય છે. જેનાં એડવાન્સ બુકિંગ પણ થઇ ગયાં છે ત્યારે હોટલ બુકિંગ કરનારા પૈસા પરત આપવા તૈયાર નથી તેમજ મુસાફરો પોતાના પૈસાથી અન્ય ડેસ્ટિનેશન માટે બુકિંગ કરવાનું જણાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે યુદ્ધનો અંત ક્યારે આવશે તેના પર બધું નક્કી થશે. હાલ તમામ એજન્ટો દ્વારા દુબઇ-યુરોપનું બુકિંગ લેવાનું બંધ કરાયું છે. વિદેશ પ્રવાસ રદ થતાં દિલ્હી-મુંબઈની ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવી, ડોમેસ્ટિક ફ્લાઇટને ફાયદોયુદ્ધના માહોલમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ થઈ છે ત્યારે દિલ્હી-મુંબઇ માટે ફ્લાઇટની ટિકિટ કરાવનારા લોકોની ટિકિટ રદ થઈ હતી. જેને પગલે અંદાજે 10 ટકા ટિકિટનો ડોમેસ્ટિક મુસાફરોને લાભ મળશે, તેમ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા જણાવાયું છે. હોળી-ધુળેટી તહેવારમાં લોકોને ટિકિટનો લાભ થવો એ યુદ્ધનું પોઝિટિવ પાસું છે. મુસાફરોના હોટલ બુકિંગના પૈસા અટવાઇ ગયાવડોદરાથી ટુર બુક કરાવનારા મુસાફરોના હોટલ બુકિંગના પૈસા ફરી એક વખત અટવાઈ ગયા હોવાની વાત બહાર આવી છે. જોકે કેટલા લોકોના રૂપિયા અટવાયા છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી નથી. યુદ્ધ વિરામ થાય તો બધું થાળે પડે. ટુરિઝમને નુકસાન થશેટુરિઝમને નુકસાન થશે યુદ્ધને પગલે વિદેશ ફરવા જનારામાં ભય છે. અમે પણ બુકિંગ બંધ કર્યું છે. ટુરિઝમના વ્યવસાયને નુકસાન થશે. > રાજેશ પંડ્યા, વડોરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસો.
મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધની અસર હવે ટુરિઝમના હબ ગણાતા દુબઇ પર જોવા મળી રહી છે. ઇરાને કરેલા હુમલા બાદ સુરક્ષાના કારણોસર દુબઇ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. જેથી ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાંથી ત્યાં ગયેલા પ્રવાસીઓ માટે મોટું સંકટ સર્જાયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હોટલના ભાડાં આસમાને પહોંચ્યા છે અને ફ્લાઇટ્સ કેન્સલ થતા લોકોમાં ભારે ફફડાટ છે. એકતરફ ગમે ત્યારે મિસાઇલ ત્રાટકવાનો ભય અને બીજીતરફ અજાણ્યા દેશમાં રહેવા-જમવાની ચિંતા વચ્ચે ગુજરાતીઓની મદદે JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)ની દુબઇ વિંગ આવી છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં JITO અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડેન્ટ રાજીવ છાજેડ અને જૈન અગ્રણી ભદ્રેશ શાહે દુબઇની સ્થિતિ અંગે માહિતી આપી હતી. અત્યારસુધીમાં 500થી વધુ લોકોને મદદ કરીJITOએ ફસાયેલા લોકોને માનસિક શાંતિ આપવાથી માંડીને ભોજન અને રહેવા માટે હોટેલ્સ સાથે ટાઇઅપ કર્યું છે. જેથી લોકોને ઓછા ભાડાંમાં સારી સુવિધા મળી રહે. JITOએ અત્યાર સુધીમાં અહીં 500થી વધુ લોકોની મદદ કરી છે. 24 કલાક હેલ્પ લાઇનદુબઇ વિંગે હેલ્પ લાઇન માટે 8 મોબાઇલ નંબર જાહેર કર્યા છે. જેના પર કોઇપણ વ્યક્તિ 24 કલાક મદદ માટે ફોન કરી શકે છે. JITOએ એક હોસ્ટેલની પણ વ્યવસ્થા કરી છે. જેમાં એક સાથે 80 થી 100 લોકો રહી શકે તેમ છે. રાજીવ છાજેડે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હાલમાં ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ છે. જેની અસર છેક દુબઇમાં પણ વર્તાઈ છે. દુબઇમાં ફ્લાઇટ્સ કેન્સલ થઇ રહી છે, લોકો ફસાઇ ગયા છે. એમ સમજો કે એક પ્રકારે બધું જ બ્લોક થઇ ગયું છે. આ સ્થિતિમાં દુબઇમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે JITOએ કેવી રીતે સુવિધા ઊભી કરી તેની વાત પણ રાજીવ છાજેડે કરી. JITOના દુબઇ ચેપ્ટરે મદદની તૈયારી બતાવીતેઓ કહે છે કે, JITO પરિવારના સભ્યો આખા વિશ્વમાં ફેલાયેલા છે. જ્યારે પણ આવી કોઇ પરિસ્થિતિ આવે ત્યારે તેઓ લોકોની મદદ કરતાં હોય છે. અમારી એપેક્ષ બોડીએ દુબઇ ચેપ્ટર સાથે વાતચીત કરી હતી ત્યારે સામેથી જ દુબઇ ચેપ્ટરનો મેસેજ આવ્યો હતો કે અમે મદદ કરવા તૈયાર છીએ. યુદ્ધના કારણે હોટલનાં ભાડા વધી ગયાજ્યારે જૈન અગ્રણી ભદ્રેશ શાહે દિવ્ય ભાસ્કરને કહ્યું, JITO દુબઇ ચેપ્ટરના રાજેશ જૈન સાથે મારે વાતચીત થતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે યુદ્ધના કારણે હોટલમાં રહેવાનું મોંઘું થઇ ગયું છે. ઘણા જૈનો પણ દુબઇમાં ફસાયા છે. જેમને સસ્તા ભાડાંમાં સારી હોટલ મળી રહે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ. જે લોકો પહેલેથી જ ત્યાં રોકાયેલા છે તો તેમને સ્ટે માટે એક્સટેન્શન ન કરી આપે તો વાતચીત કરીને એક્સટેન્શન મળે તે માટે પણ મદદ કરી રહ્યાં છે. લોકોની મદદ કરવાના કામને રાજીવ છાજેડ માનવતાનું કામ માને છે. છાજેડે કહ્યું કે, આ એક માનવતાનું કામ હોવાથી હાલમાં અમે બધા જ લોકો માટે આ પ્રકારની મદદ શરૂ કરી છે. અમારા જૈન ધર્મના લોકો વેજિટેરિયન હોય છે એટલે તેમને ત્યાં ભોજનમાં તકલીફ ન પડે તે માટે પણ રસોડાંની બેકઅપ વ્યવસ્થા ઊભી કરી છે. હાલના સમયે એટલી બધી કોઇ ઇમરજન્સી પડી નથી પણ જો આવનારા દિવસોમાં કંઇ થાય તો આવી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે પાણી પહેલાં પાળ બાંધવાની તમામ તૈયારીઓ અમે કરી લીધી છે. કેનેડા જતાં લોકો પણ ફસાયાભદ્રેશ શાહે જણાવ્યું કે, રાજેશભાઇએ મને કહ્યું હતું જ્યારે યુદ્ધની શરૂઆત થઇ અને ફ્લાઇટ્સ બંધ થઇ ગઇ જેના કારણે હજારો યાત્રીઓ દુબઇમાં અટવાયા હતા. જે લોકો કેનેડા સહિત અન્ય દેશોમાં જઇ રહ્યાં હતા અને અહીં તેમની ફ્લાઇટ ચેન્જ કરવાની હતી તેવા લોકો પણ ફસાયા છે. જેથી અમને થયું કે આપણે મદદ કરવી જોઇએ એટલે આ પ્રકારની હેલ્પ કરવાની શરૂઆત કરી. JITO ફક્ત રહેવા-જમવાની સુવિધા જ નહીં પણ માનસિક તણાવ દૂર કરવાનું કામ પણ કરે છે. કેટલાક લોકોને આર્થિક મદદ પણ કરીભદ્રેશ શાહ જણાવે છે કે, હાલ જે બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે તેના કારણે ફસાયેલા લોકોમાં સ્ટ્રેસ જોવા મળી રહ્યો છે. આવા વ્યક્તિઓનો સ્ટ્રેસ દૂર કરવાથી માંડીને તેમને હૂંફ આપવાની કામગીરી પણ થઇ રહી છે. કેટલાક કિસ્સામાં મધ્યમવર્ગીય લોકો ત્યાં ફસાયા છે તેમને આર્થિક મદદ પણ કરી છે. સરકારે વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યોઇરાનના હુમલા બાદ દુબઇની શાળાઓ બંધ કરી દેવાઇ છે. જ્યારે ઓફિસમાં કામ કરતાં લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ ત્યાંની સરકારે આપ્યો છે. દુબઇમાં રહેતા અમિત નામના એક ગુજરાતી યુવાને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અહીં વાતાવરણ ખૂબ જ ગંભીર હતું. હુમલો થાય ત્યારે અહીં અવાજ સંભળાતા હતા. અહીંયાની સરકારે મિસાઇલોનો ખાત્મો કરી નાખ્યો છે અને પ્રજાને કોઇ તકલીફ પડવા નથી દીધી. જે મુસાફરો અહીં હોટલમાં ફસાઇ ગયા છે તેમને હોટલમાં જ રહેવા દેવા અને ખાવા-પીવાની સુવિધા કરી આપવાના આદેશ અહીંની સરકારે આપ્યા છે.
કહેવાય છે કે પ્રેમમાં માણસ 7 જન્મો સુધી સાથના કોલ આપે છે પણ જ્યારે એ જ પ્રેમ દારૂના નશામાં હોમાઇ જાય ત્યારે શું થાય? આ વાત છે વલસાડના ઉમરગામની એક કમનસીબ સ્ત્રી કામિનીની. જેના જીવનમાં પ્રેમ તો આવ્યો પણ એ પ્રેમની કિંમત તેણે પોતાનો જીવ ગુમાવીને ચુકવવી પડી. લગભગ એક દાયકા પહેલા કામિની અને તેના પતિએ દુનિયા સામે લડીને સમાજની ચિંતા કર્યા વગર એકબીજાના હાથ પકડ્યા હતા. તેમણે લવ મેરેજ કર્યા હતા. એ સમયે તેમની આંખોમાં ગુલાબી સપનાં હતા અને દિલમાં એકબીજા પ્રત્યે અતૂટ વિશ્વાસ. આ પ્રેમકથામાં દારૂ વિલન બનીને આવ્યો અને એક દિવસ ન થવાનું થઇ ગયું. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આ વખતે વાત દારૂના દૂષણે ઉજાડેલા એક હસતા-રમતા પરિવારની. તારીખઃ 25 ઓક્ટોબર, 2021સમયઃ સવારના 9 વાગ્યે વલસાડ જિલ્લાના ઉમરગામના રસ્તા પર સાયરન વગાડતી એક એમ્બ્યુલન્સ ટ્રાફિકને ચીરતી સડસડાટ દોડી રહી હતી. તેને ઝડપથી મમતા હોસ્પિટલ પહોંચવાનું હતું. સાયરન સાંભળીને વાહનો એકતરફ થઇ જતાં અને એમ્બ્યુલન્સને રસ્તો કરી આપતા હતા. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ હોસ્પિટલના પગથિયા પાસે આવીને ઊભી રહી ગઇ. એમ્બ્યુલન્સના સ્ટાફે ફટાફટ ઉતરીને પાછળની તરફ જઇને દરવાજો ખોલ્યો. અંદર એક મહિલા દર્દી હતી. જેનું નામ કામિની હતું. 32 વર્ષની કામિની મોઢા ઉપર, ગળા ઉપર, શરીરના પાછળના ભાગે, બન્ને હાથે દાઝેલી હાલતમાં હતી. શરીર લગભગ 42થી 45 % બળી ગયું હતું. કામિની સાથે તેના 3 સ્વજનો પણ હતા. કોઇપણ એમ્બ્યુલન્સ સાયરન વગાડતી-વગાડતી આવે એટલે હોસ્પિટલનો સ્ટાફ એલર્ટ થઇ જાય. સ્ટાફને ખબર જ હોય કે કંઇક ઇમરજન્સી આવી હશે. મમતા હોસ્પિટલનો સ્ટાફ પણ તૈયાર જ હતો. તાબડતોબ સ્ટ્રેચર લઇને પગથિયા પાસે પહોંચી ગયો અને કામિનીને લઇને સીધો જ ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયો. આ સમયે હોસ્પિટલમાં ડૉ. રેખા મોદી હાજર હતા. MBBSની ડિગ્રી ધરાવતા ડૉ. રેખાનું નામ ઉમરગામના મોટા ડૉક્ટર્સની યાદીમાં આવતું. તે 36 વર્ષોથી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. ડૉ. રેખાની અનુભવી આંખોએ કામિનીની હાલત જોઇ અને ઝડપથી સારવાર ચાલુ કરી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂર લાગતા ડૉ. રેખાએ કામિનીને બીજી હોસ્પિટલ લઇ જવાનું કહ્યું. હવે એમ્બ્યુલન્સની વધુ એક દડમજલ શરૂ થવાની હતી. આ વખતે જવાનું હતું દમણની મરવડ હોસ્પિટલ. ઉમરગામથી મરવડ હોસ્પિટલનું અંતર અંદાજે 36 કિલોમીટર થાય. આ હોસ્પિટલ સરકારી હતી એટલે અહીં કામિનીને તમામ જરૂરી સારવાર મળી રહે તેમ હતી. ફરી રોડ પર એમ્બ્યુલન્સની સાયરન વાગવા લાગી. પીડાથી કણસતી કામિનીના મોઢામાંથી ભયંકર ચીસો નીકળતી હતી. એમ્બ્યુલન્સના ડ્રાઇવરને આવી ચીસો, પીડા સાથે રોજનો પનારો હોય છે એટલે તેમના માટે કોઇ નવાઇની વાત ન હોય તે સ્વભાવિક છે પણ કામિનીની પીડા ડ્રાઇવરને વારંવાર એ અનુભવ કરાવતી હતી કે ઝડપથી હોસ્પિટલ પહોંચવું કેટલું જરૂરી છે. આશરે 11:23 વાગ્યે એમ્બ્યુલન્સ મરવડ હોસ્પિટલ પહોંચી ગઇ. કામિનીને તરત જ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાઇ. અહીં ડૉ. અર્પિતા રાઠોડ ફરજ પર હાજર હતા. ડૉ. અર્પિતા 2019થી મરવડ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે જોયું કે કામિનીને દાઝી જવાથી ગંભીર ઇજાઓ થયેલી છે. ડૉ. અર્પિતાએ તાત્કાલીક કામિનીની સારવાર શરૂ કરી દીધી. કહેવાય છે કે દવા અને દુઆની અસર જરૂર થાય છે. તાત્કાલીક સારવારે પણ અસર કરી અને કામિનીની ભયંકર પીડા ધીરે ધીરે ઓછી થતી ગઇ. હવે તેને જનરલ સર્જનની દેખરેખ હેઠળ બર્ન્સ વોર્ડમાં દાખલ કરાઇ હતી. જ્યારે હોસ્પિટલમાં કોઇ મારામારી, દાઝી જવાના કેસ આવે ત્યારે હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવતી હોય છે. કામિની વિશે પણ હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ પ્રેમજી મકવાણાને જાણ કરી હતી. એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્ટાફ સાથે મરવડ હોસ્પિટલ પહોંચ્યા. કામિનીને જ્યાં દાખલ કરાઇ હતી તે વોર્ડમાં ગયા. કાગળ અને પેન તૈયાર હતા. કામિનીનો અવાજ ધ્રૂજતો હતો પણ તેણે હિંમતપૂર્વક વાત કરવાનું શરૂ કર્યું. કામિનીની પીડા કોઇ અકસ્માતની નહોતી પણ વિશ્વાસઘાતની બળતરા હોય તેવું લાગતું હતું. તેની આંખોએ ગુલાબી સપનાંઓને રાખ થતાં જોયા હતા. તેણે જે નિવેદન આપ્યું એ નિવેદને ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના હોંશ ઉડાવી દીધા. કામિનીએ જણાવ્યું કે તે કેવી રીતે દાઝી? શું તે ફક્ત એક અકસ્માત હતો કે પછી તેને જીવતી સળગાવવાનો પ્રયાસ થયો હતો? આ રીતે કામિનીનું મરણોન્મુખ નિવેદન (ડાઇંગ ડેક્લેરેશન) લેવાયું. તેણે પોતાની હાલત અંગે એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટને જે જણાવ્યું તે ખૂબ જ ચોંકાવનારૂં હતું. જેનો ખુલાસો પછી થશે. તારીખઃ 18 નવેમ્બર, 2021 25 દિવસની સારવાર છતાં કામિનીની હાલત સુધરવાનું નામ નહોતી લઇ રહી. હવે મરવડ હોસ્પિટલના ડૉક્ટર્સને લાગ્યું કે તેને વધુ સારવાર માટે કોઇ મોટી હોસ્પિટલમાં મોકલી જોઇએ. જેથી કામિનીને સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ (કોટેજ)માં રિફર કરાઇ. સાંજના 6:50 વાગ્યાનો સમય હતો. ડૉ.લક્ષ્મણ થોરાટની ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં મેડિકલ ઓફિસર તરીને ડ્યુટી હતી ત્યારે કામિનીને અહીં સારવાર માટે લવાઇ. અહીં 2 દિવસની સારવાર માંડ થઇ હશે ત્યાં કામિની અને તેના સ્વજનોએ એક આંચકાજનક નિર્ણય લઇ લીધો. હજુ કામિની સંપૂર્ણ સ્વસ્થ નહોતી થઇ પણ તેના સ્વજનોએ જીદ પકડી કે અમારે કામિનીને ઘરે લઇ જવી છે.ડૉક્ટર્સે કહ્યું- તેની હાલત નાજુક છે, તેનું મોત થઇ શકે છે! કામિનીને બીજી હોસ્પિટલમાં સારવાર અપાવવી છે તેમ કહીને પરિવારજનોએ રજા લઇ લીધી. ખુદ કામિનીએ પણ પરિવારને એવું કહ્યું હતું કે મને અહીંથી લઇ જાઓ. સવાલ એ હતો કે જે સ્ત્રી મોત સામે લડી રહી હતી તેને અચાનક હોસ્પિટલ કેમ છોડવી હતી? શું તેના પર કોઇ દબાણ હતું? કે પછી તે કોઇનાથી છૂપાવા માગતી હતી? હકીકતમાં કામિનીને બીજી હોસ્પિટલમાં લઇ જવાને બદલે તેના સ્વજનો ઘરે લઇ ગયા અને ઘરે જ સારવાર ચાલુ કરી. ઘરે સારવાર દરમિયાન કામિનીની તબિયત સુધરવાને બદલે બગડવા લાગી. અંતે પરિવારે ફરીથી તેને હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું. 12 જાન્યુઆરી, 2022આ વખતે કામિનીને મમતા હોસ્પિટલમાં દાખલ કરાઇ. તેની હાલત સારી નહોતી. ડૉક્ટર્સે તેને બચાવવા આકાશ-પાતાળ એક કર્યા. સારવાર દરમિયાન તેને 6 બોટલ લોહી ચડાવાયું અને ઓપરેશન પણ કરાયું. તેમ છતાં ડૉક્ટર્સની મહેનત કામ ન લાગી. કદાચ મોતે કામિનીનું સરનામું શોધી લીધું હતું. 14મી ફેબ્રુઆરીએ આખી દુનિયા વેલેન્ટાઇન ડે ઉજવી રહી હતી. ચોતરફ પ્રેમનો જશ્ન હતો. એવા સમયે કામિનીએ અંતિમ શ્વાસ લીધા. પ્રેમના દિવસે દુનિયામાંથી વિદાય લેનારી કામિનીના મોત પાછળ પણ પ્રેમ જ જવાબદાર હતો. પ્રેમ કેવી રીતે કામિનીના મોતનું કારણ બન્યો?કામિનીનું મોત દાઝી જવાથી થયું હતું પણ તેની આવી હાલત કોણે કરી હતી?એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટને આપેલા નિવેદનમાં કામિનીએ શું ચોંકાવનારી વાત કરી હતી? આ સવાલોના જવાબ જાણવા જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
ભવ્યાતિભવ્ય કથાનું કરાયું આયોજન:ટંકારાના મેઘપર ઝાલામાં રામદેવ રામાયણ માનસ કથા યોજાઈ
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે ભગવાન રામદેવપીરની જગ્યા અને કાળુરામ બાપુના આશ્રમ ખાતે રામદેવ રામાયણ માનસ કથા ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જેમાં મોરબીના રામધન આશ્રમના જાણીતા કથાકાર રત્નેશ્વરીજી ગુરૂ ભાવેશ્વરીજીના વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં રામદેવ રામાયણ કથાનું ભાવવાહી વર્ણન કર્યું હતું. કથા દરમિયાન શિવ-પાર્વતી સંવાદ, અજમલજીને ત્યાં રામદેવજીનું પ્રાગટ્ય, લીલુડો ઘોડો, સિકંદર લોદીનું નમવું, સગુણાબેનની કંકોત્રી અને રામદેવજીની સમાધિ જેવા ધાર્મિક પ્રસંગોને ભાવવાહી શૈલીમાં રજૂ કરતા મોટી સંખ્યામાં કથા શ્રવણ માટે ઉમટી પડેલા ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે સવરા મંડપનું પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કથાના ભાગરૂપે ડાલીબાઈના પરિવાર તરફથી ભાવભર્યું સામૈયું યોજાયું હતું.
રમઝાન માસની શરૂઆત થતા જ વાંકાનેર તાલુકામાં માનવતા, ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં રોઝેદારોને ઇફ્તાર સમયે રાહત રહે અને પવિત્ર માસમાં સેવાકીય ભાવના જળવાઈ રહે તે હેતુથી ‘મારવેલ ગ્રુપ’ના મોમીન યુવાનો દ્વારા રાહતભાવે તરબૂચ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સેવાકીય પ્રવૃતિમાં મારવેલ ગ્રુપના 300થી વધુ મોમીન યુવાનો સ્વાર્થ વિના રાત-દિવસ પોતાની સેવાઓ આપી રહ્યા છે. જેમાં રમઝાન માસના પ્રથમ દિવસથી જ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેથી રોઝા રાખતા ભાઈઓને ઇફ્તારના સમયે તાજા અને વાજબી ભાવે તરબૂચ આસાનીથી મળી રહે. આ સેવાકીય પ્રવૃત્તિના મુખ્ય વિતરણ કેન્દ્રો તરીકે દાણાપીઠ ચોક, ચંદ્રપુર નેશનલ હાઇવે, સિંધાવદર રેલવે સ્ટેશન તથા મહીકાના બોર્ડ પાસે તરબૂચનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર તાલુકાને આવરી લેવા માટે ચંદ્રપુર, તીથવા, મહીકા, વીડી ભોજપરા અને કોઠારીયા સહિત પાંચ ગામોને ‘સ્ટોરેજ પોઇન્ટ’ બનાવી અહીંથી તાલુકાના ૪૦થી વધુ ગામોમાં રાહતભાવે તરબૂચ પહોંચાડાય છે.
મુસાફરો થયા પરેશાન:મોરબી મહાનગરપાલિકાની સિટી બસ સેવા ખોડંગાઇ, ત્રણેય બસ મેન્ટેનન્સના વાંકે રજા પર
મોરબી મહાનગરપાલિકાની સીટી બસ સેવા નગરપાલિકા કરતા પણ ખાડે ગઈ હોવાનું સામે આવ્યું છે. અગાઉ નગરપાલિકાના શાસનકાળ દરમિયાન શહેરની ચારેય દિશાએ ગ્રામ્ય વિસ્તારોની સીમાઓ સુધી ચારથી વધુ સીટી બસો દોડતી હતી. સસ્તું ભાડું અને સિધપુરની જાત્રા જેવી આ સીટી બસો ખાનગી રીક્ષા કે અન્ય વાહનોના બેફામ ભાડાઓ સામે શહરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે સારી સુવિધા હતી. જો કે નગરપાલિકામાંથી એક વર્ષ પહેલાં મહાનગરપાલિકાનું રૂપાંતર થતા ખરેખર સીટી બસ સેવા સર્વવ્યાપી અને આનુસંગિક બનવી જોઈએ. એના બદલે ત્રણ જ સીટી બસો હોય એ પણ ખરાબ થઈ જવાથી મેઇન્ટનેશન માટે મોકલી દેવાય છે. આ સીટી બસો બંધ હોવાથી હાલ સૌથી વધુ બોર્ડના વિદ્યાર્થીઓને પાર વગરની હાલાકી પડી રહી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની ફરિયાદ મુજબ ઘણા ખરા વિદ્યાર્થીઓ છેવડાના વિસ્તારોના હોય એટલે સામેકાંઠે મહેન્દ્રનગર, રફાળેશ્વર, ભડિયાદ તેમજ શહેરમાં બાયપાસથી લઈ શનાળા ગામ અને વિરપરથી લજાઈ, રવાપરમાં મોરબી પરીક્ષા દેવા આવતા હોય પણ સીટી બસની સુવિધા ન હોવાથી આ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણીવાર રિક્ષાના મોંઘા ભાડા ખર્ચીને પણ વિદ્યાર્થીઓ મોરબીમાં બોર્ડની પરીક્ષામાં સમયસર પહોંચી શકતા ન હોવાની પણ ફરિયાદ સામે આવે છે. કેટલીક વખત ઘરેથી વહેલા નીકળ્યા હોય તો પણ ટાઈમસર કોઈ વાહન મળતું નથી. ખાનગી વાહનોમાં અવરજવર સમય અને નાણાં બન્ને વેડફાઇ રહ્યા છે. આથી હજુ પણ મનપાના કમિશનર તેમજ કલેકટર યોગ્ય સંકલન સાધી નિયત સ્થળે સીટી બસો ચાલુ કરાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ ઉઠાવી છે. 30 બસ આવી રહી છે... ‘ભેંસ ભાગોળે અને છાશ છાગોળે’સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ કુલ ત્રણમાંથી બે બસ લાંબા ટાઈમથી બંધ હતી. એક બસ ચાલુ હતી. એ પણ ક્ષતિગ્રસ્ત થઈ જતા ત્રણેય બસ હાલ મેઇન્ટેનન્સના નામે વર્કશોપમાં મોકલી દેવાઈ છે. બીજું એ કે, મહાપાલિકા આવતા જ લજાઈ, શનાળા, રવાપર સહિતના રૂટ જ બંધ કરી દેવાયા હતા. આવા સંજોગોમાં આગામી સમયમાં એજન્સીની 30 જેટલી બસ આવશે એવો કરવામાં આવી રહ્યો દાવો છે. પણ હકીકતમાં આ દાવો ભેંસ ભાગોળે અને છાસ છગોળે જેવો છે. કારણ કે હજુ તો ઓનલાઈન ટેન્ડર મૂક્યું છે. પછી એજન્સીઓ આવે, ટેન્ડર ભરે, ટેન્ડર ખુલે, યોગ્ય ભાવ મુજબ સિલેક્ટ થાય પછી વર્ક ઓર્ડર મળે પછી બસો આવે, આટલી બધી પ્રોસેસમાં કેટલો બધો સમય નીકળી જાય એ નક્કી જ નથી. એટલે એજન્સી આવે પછી કેટલી બસો આવે અને ક્યારે ચાલુ થાય એ નક્કી ન હોય હાલ સીટી બસની સુવિધાઓ દિવાસ્વપ્ન જેવી લાગે છે.
મોરબી શહેરના મુખ્ય બ્રિજ એવા પાડા પુલના રીપેરીંગની કામગીરી ચાલી રહી છે જેના કારણે મોટાભાગના વાહનો બેઠા પુલ પરથી નીકળી રહ્યા છે. પરંતુ અહીં એક તરફ સાંકડો બ્રિજ ઉપરાંત મણીમંદિરના ભાગ તરફ ઢાળ હોવાના કારણે રાત્રિના સમયે જ્યારે એકી સાથે મોટી સંખ્યામાં લોકો તેમના ઘર તરફ પાછા ફરી રહ્યા હોય ત્યારે આ બેઠા પુલ પર મોટા પાયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. રાત્રિના આ બ્રિજ પર માત્ર લાલ લાઈટની રોશની જોવા મળતી હોય છે તહેવારના સમયમાં હાલ આ જામને પગલે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવે તો નિર્ધારિત સમયે પાડા પુલનું સમારકામ પૂર્ણ થઇ જાય તો લોકોને આ ટ્રાફિકની સમસ્યાની ઝંઝટમાંથી છૂટકારો મળશે અને બેઠા પુલ પરનું ભારણ પણ ઘટશે એટલું જ નહીં, લોકોનું મહામુલું પેટ્રોલ પણ બચશે.
સ્માર્ટફોનના યુગમાં આજે હાથમાં સારું પુસ્તક હોવું અને તેનું ઘરે ઘરે વાંચન થાય તે પણ હવે જાણે જવલ્લે જ બનતી હોય તેવી ઘટના ગણવી પડે તેવી હાલત છે. ત્યારે વાંકાનેરમાં લોકોને વાંચતા કરવા અને વાંચનનું મહત્વ જાળવી રાખવા પ્રેરણા આપવા દર મહિને નિયત જગ્યાએ પુસ્તક પરબ યોજવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં વાંચનપ્રેમીઓ રાબેતા મુજબ જ ઉમટીને પુસ્તકો મેળવી વાંચન શોખને જીવંત રાખવા મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં જ માર્ચ માસનું પુસ્તક પરબ વાંકાનેરમાં યોજવામાં આવ્યું હતું, જેમાં દર વખતની માફક આ વખતે પણ મોટી સંખ્યામાં વાચકોએ ઉમટી પડીને અઢળક પ્રતિસાદ આપ્યો હતો. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિએ પણ પુસ્તક પરબની મુલાકાત લઇ સંચાલકોની પહેલની બીરદાવી હતી. વાંકાનેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. જે અનુસંધાને રવિવારના રોજ યોજાયેલા પુસ્તક પરબમાં અનેક વાચકોની સાથે સાથે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા પણ જોડાયા હતા અને તેમણે આ કામગીરી બીરદાવી હતી.
ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે માવઠાની અવર જવર વચ્ચે શિયાળુ પાકની સીઝન પૂર્ણ થવા આવી છે અને હાલ જે વિસ્તારમાં સિંચાઈની સગવડ છે તેવા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકની તૈયારી શરુ કરી દીધી છે. હાલ તલનું વાવેતર 417 હેક્ટરમાં જ્યારે 965 હેક્ટરમાં ઘાસચારો અને 226 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જ્યારે મોરબી માળિયા તાલુકાના અનેક ગામડાંમાં હજુ ખેતરમાં જીરુંનો પાક ઉભો હોવાથી વાવેતર નહિવત્ છે પરંતુ આગામી સપ્તાહમાં આ વાવેતરનો આંકડો વધે તેવી શક્યતા છે. મોરબી જિલ્લામાં પ્રથમ સપ્તાહમાં 1757 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયું છે જેમાં વાંકાનેરમાં 948 હેક્ટરમાં જયારે હળવદમાં 480 હેક્ટરમાં વાવેતર થયું છે મોરબી તાલુકામાં 200 હેક્ટર અને ટંકારામાં 125 હેક્ટરમાં વાવેતર થયું છે. માળિયા મિયાણા તાલુકામાં હજુ સુધી વાવેતર શરુ થઇ શક્યું નથી જેનું એક કારણ ખેતરમાં હજુ જીરુંનો પાક ઉભો હોય અને છેલ્લા તબક્કામાં હોય નર્મદાનું આ વિસ્તારમાં હાલ પિયત માટે પાણી અપાઈ રહ્યું છે અને આગામી એક બે સપ્તાહ બાદ કેનાલના મેન્ટેન્સ અને સફાઈના કામથી કેનાલમાં પાણી બંધ થવાનું હોવાથી મોટા ભાગના ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરવા અપીલ કરાઈ રહી છે જેના કારણે આ વર્ષે હળવદ માળિયા તેમજ મોરબી તાલુકામાં વાવેતર મોડું થવાની સાથે ઘટાડો પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે હજુ ઉનાળુ વાવેતરના પ્રથમ સપ્તાહ જેટલો સમય હોવાથી કોઈ પણ અંદાજ લગાવવો વહેલો થઇ શકે છે પાક મુજબ જોઈએ તો મોરબી માં 965 હેક્ટરમાં ઘાસ ચારો અને 226 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર છે 417 માં તલ અને 105 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર જોવા મળ્યું છે. સિંચાઇ અને પાણીની સગવડધરાવતા ખેડૂતોએ વાવણીનીતૈયારી શરૂ કરી દીધીમાળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતના ખેતરમાં હજુ જીરુંનો પાક તૈયાર થઇ રહ્યો છે, અને અમને જાણવા મળ્યું છે કે આગામી એક બે સપ્તાહમાં કેનાલ રિપેરીંગ માટે બંધ કરવાના છે અમે તંત્રને રજૂઆત કરીશું કે નર્મદા કેનાલમાં 31 માર્ચ સુધી પાણી મળે તેવી માંગણી કરીશું તેમ માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયાએ જણાવ્યું હતું. નર્મદા કેનાલના રિપેરિંગને પગલેચોમાસાનું આગોતરું વાવેતર વધી શકેમોરબી જિલ્લામાંથી નીકળતી નર્મદાની અલગ અલગ બ્રાંચ કેનાલમાં આગામી મહિનામાં સફાઈ અને મેન્ટેનન્સ કામ શરુ થશે જેના કારણે પાણી બંધ થઇ શકે છે જે લગભગ મે મહિના સુધી ચાલી શકે છે, આવી સ્થિતિમાં ખેડૂતો ઉનાળુ પાક પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ચોમાસા પૂર્વે આગોતરા વાવેતર તરફ વળે તેવી શક્યતા છે અને તેના લીધે ઉનાળુ વાવેતર પર અસર પડે તેવી સંભાવના નકારી શકાતી નથી.
ઝાલાવાડમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે, ત્યારે ગરમીમાં ઠંડા પાણી માટે વરવાલના દેશી માટલાની ખરીદી શરૂ થઈ છે. પરંતુ આ બાબતે માટલાની કિંમતમાં વધારો થતા લોકોને ઠંડા પાણી માટે ખીસ્સા ગરમ રાખવા પડશે. આમ છતા ગરમીમાંથી શક્તિ માટે ઠંડા ઠંડા કૂલ કૂલ માટલાની ખપત વધી છે. સમગ્ર ગુજરાતમાં - સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી નોંધાય છે. ત્યારે ઉનાળાના પ્રરંભ થતા સૂર્યનારાયણ ગરમીનો ક્રોપ શરૂ થયો છે. બળતણના લાકડા, કોલસાના ભાવ વધ્યા તથા વાહનમાં ભરીને માટી દૂર દૂરથી લાવવી પડતી હોવાથી રૂ. 10થી 50નો ભાવ વધારો થયો છે. ઝાલાવાડમાં ગરમી પારો ઉંચે જતા જ ઠંડા દેશી માટલાની માંગ શરૂ થઇ છે. વઢવાણ શહેરના પ્રખ્યાત માટલાઓના વેચાણને ખરીદી શરૂ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામા ગત વર્ષ કરતા આ વર્ષે માટલાની કિંમત રૂ.10થી માંડી 50નો વધારો જોવા મેળે છે. આ અંગે વર્ષોથી માટલા બનાવતા અને વેચતા કરશનભાઈ પાટડીયાએ જણાવ્યું કે, હાલ ડબલ ઋતુને કારણે ફ્રીઝના ઠંડા પાણીની આરોગ્ય પર અસર થાય છે. પરંતુ પાટીના માટલાનું પાણી શરીર માટે હાનીકારક નથી. હાલ રૂ.50થી માંડીને રૂ.૩૦૦ સુધીના માટલા, કોઠીઓનું વૈચાલ શરૂ થયું છે. જ્યારે થાન સિરામીક અને ઉત્તર ગુજરાતના માટલા અને કોઠીઓ પણ વેચાણ થઈ રહ્યું છે. વઢવાણમાં શિયાળાની ઠંડીમાં માટલા તૈયાર થાય છેવઢવાણ શહેરમાં શિયાળામાં જ માટલાઓ બનાવવાનો પ્રારંભ થાય છે. જેમાં શિયાળાની ઠંડીમાં માટી ખૂબ જ ઠંડી બની જાય છે. આથી ઠંડી માટીના માટલાઓ બનાવવામાં આવે છે. જ્યારે માટલા ઉનાળાની ગરમીમાં વેચાણ થાય છે. આવા માટલાઓની માંગ વધુ રહે છે. વિવિધ માટલાઓના ભાવ
નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું પરિણામ:વઢવાણની નાઈટ ક્રિકેટ ટુર્ના.માં મોટસન ફાસ્ટનર્સ ટીમ ચેમ્પિયન
રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સામાજિક સેવાના હેતુસર આયોજિત રોટરી કોર્પોરેટ ક્રિકેટ કપ ટુર્નામેન્ટ ગત તા. 26 થી 28 ફેબ્રુઆરી સી.યુ.શાહ સ્પોર્ટ્સ ક્લબ ખાતે પૂર્ણ થયો હતો. આ રાત્રિ ટુર્નામેન્ટમાં શહેરની જાણીતી 14 કોર્પોરેટ ટીમે સારુ પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં મોટસન ફાસ્ટનર્સ ટીમે વિજય મેળવી ટ્રોફી પર કબજો કર્યો હતો. આ રોમાંચક સ્પર્ધામાં મોટસન ફાસ્ટનર્સ ટીમ વિજેતા બની હતી, જ્યારે એસ એસ વ્હાઇટ ટીમ રનર-અપ રહી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન પ્રોજેક્ટ ચેર રો. પુનિત શાહ અને પ્રોજેક્ટ કો-ચેર રો. જીમિત શાહના માર્ગદર્શન હેઠળ પ્રેસિડેન્ટ કાર્તિક પટેલ તથા સેક્રેટરી જયદીપ બાવલીયા તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટીના સભ્યો અને રોટરેકટ ક્લબ ઓફ વઢવાણ સીટીના સભ્યોના સહકારથી કરાયુ હતુ. આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર તરીકે એસએસવ્હાઇટ અને શુક્લા મેડીકલl દ્વારા સહયોગ અપાયો હતો.તેમજ દરેક એવોર્ડના સ્પોન્સર સિકંદર સીંગ રહ્યા હતા.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈઝરાયેલ-ઈરાન જંગ વચ્ચે કુવૈતના ત્રણ અમેરિકી જેટ તોડી પાડવાના છે. અમેરિકાએ કહ્યું- તેમણે આ ભૂલથી કર્યું. બીજા સમાચાર પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા છે. હારવા પર ખેલાડીઓએ પૈસા ભરવા પડશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભારતના પૂર્વીય રાજ્યોમાં ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્રહણ બપોરે 3:20 થી શરૂ થશે અને સાંજે 6:48 પર પૂર્ણ થશે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે 4-5 અઠવાડિયા યુદ્ધ ચાલી શકે:અમે સંપૂર્ણ તાકાત લગાવી હુમલો કર્યો નથી, અમારી પાસે વિશ્વની સૌથી મોટી સેના ઇઝરાયલ-અમેરિકા-ઈરાન યુદ્ધને ત્રણ દિવસ થયા છે. આ દરમિયાન પાકિસ્તાન પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ના એક વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન આવું કર્યું હશે તો તે હવે સુરક્ષિત રહેશે નહીં અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે. યુદ્ધ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના લાંબા સમયના સાથી બ્રિટન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે હિંદ મહાસાગરમાં સ્થિત યુએસ લશ્કરી મથક, ડિએગો ગાર્સિયાને સોંપવામાં વિલંબ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર… 2. ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: એર ઇન્ડિયા આવતીકાલથી મસ્કત ફ્લાઇટ્સ શરૂ કરશે:પાકિસ્તાની સંસદે ખામેનીને શ્રદ્ધાંજલિ આપી; ઓમાનમાં ભારતીયનું મોત ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે છેલ્લા બે દિવસમાં ભારતમાં 760થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આજે પણ દિલ્હી એરપોર્ટ પર 87 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી, મુંબઈ, કોચી, બેંગલુરુ, ચેન્નાઈ, જયપુર અને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે. મિડલ ઈસ્ટની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર 9 માર્ચ સુધી મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ પર પ્રતિક્રિયા આપી હતી. આજે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું હતું- પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે, ખૂબ જ ચિંતાનો વિષય છે. ભારત તેના નાગરિકોની સુરક્ષા માટે બધા દેશો સાથે મળીને કામ કરશે. અમે વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાના પક્ષમાં છીએ. સોમવારે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoK) માં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોત સામેના વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્રની સ્થાનિક ઓફિસમાં આગ લગાવી દીધી, જેમાં ગિલગિટમાં યુનાઈટેડ નેશંસ ડેવલપમેન્ટ પ્રોગ્રામની એફિસ પણ સામેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર… 3. અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે આજે સોનાના ભાવમાં ₹8,000નો વધારો:10 ગ્રામનો ભાવ ₹1.67 લાખ થયો; ચાંદી ₹23,000 વધીને ₹2.90 લાખ થઈ અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે આજે 2 માર્ચે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામ ₹8,000 વધીને ₹1.67 લાખ થયા છે. અગાઉ, તેની કિંમત ₹1.59 લાખ પ્રતિ 10 ગ્રામ હતી. તે જ સમયે એક કિલોગ્રામ ચાંદી ₹23,000 વધીને ₹2.90 લાખ થઈ ગઈ છે. અગાઉ, તેની કિંમત ₹2.67 લાખ પ્રતિ કિલોગ્રામ હતી. કોમોડિટી નિષ્ણાત અજય કેડિયાના મતે, સોનું ₹1.90 લાખ અને ચાંદી ₹3.50 લાખ સુધી પહોંચી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને આકરી સજા આપી:દરેક પ્લેયર્સને 50 લાખનો દંડ ફટકાર્યો; T20 વર્લ્ડ કપમાં PAKના ખરાબ પ્રદર્શનના કારણે પગલાં લીધા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મોટું પગલું ભર્યું છે. બોર્ડ તેના ખેલાડીઓ પાસેથી દંડ વસૂલશે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, પાકિસ્તાનના દરેક ખેલાડી પર 50 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. બોર્ડના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે ખેલાડીઓને આર્થિક લાભ ફક્ત સારા પ્રદર્શનના આધારે જ મળશે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. કેનેડા ભારતને યુરેનિયમ આપશે:પીએમ મોદી અને કાર્નીની મુલાકાત બાદ કરાર, બંને દેશો ડિફેન્સ અને એનર્જી સેક્ટરમાં સહયોગ કરશે વડાપ્રધાન મોદી અને કેનેડિયન PM માર્ક કાર્ની વચ્ચે સોમવારે સવારે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ. PM નરેન્દ્ર મોદીએ કહ્યું- ભારત અને કેનેડા વચ્ચે રોકાણ-વેપાર ડીલ પર વાતચીત થઈ છે. સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં, અમે યુરેનિયમના લાંબા ગાળાના પુરવઠા માટે એક ઐતિહાસિક કરાર કર્યો છે. બંને દેશો વચ્ચે ઘણા ક્ષેત્રો માટે MOU કરવામાં આવ્યા છે. આનાથી બંને દેશોમાં રોજગારની નવી તકો ઊભી થશે. આ ઉપરાંત અમે નાના મોડ્યુલર રિએક્ટર્સ અને અદ્યતન રિએક્ટર ટેકનોલોજીના વિકાસ પર સહયોગ કરીશું. કૃષિ, કૃષિ ટેકનોલોજી અને ખાદ્ય સુરક્ષામાં મૂલ્યવર્ધન કરવું પણ અમારા લક્ષ્યોમાં શામેલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. પાલજમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવાઈ:રાજ્યભરમાં હોલિકાદહન, અંબાલાલે કહ્યું- ઉત્તર-પશ્ચિમમાં પવન દિશાને કારણે એકંદરે ચોમાસું સારૂ રહેશે રાજ્યભરમાં આજે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોલિકા પ્રગટાવાઈ હતી, ત્યારે ગાંધીનગર નજીક પાલજ ગામે આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવાઈ હતી. મહાકાળી માતાના પૂજન સાથે 35 ફૂટ જેટલી ઊંચી હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 24 કલાકમાં 2 તાપમાન વધ્યું, હવે ગરમી ‘ડિગ્રી’ બતાવશે:ત્રણ દિવસમાં 5 ડિગ્રી વધવાની આગાહી, બીજા દિવસે પણ ડીસા સૌથી ગરમ, 4થી 6 માર્ચ લોકો માટે ભારે રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સામાન્ય રીતે માર્ચના પહેલા અઠવાડિયામાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો જોવા મળે છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો નોંધાઈ શકે છે, જેના કારણે રાજ્યવાસીઓને ઉકળાટ અને ડિસ્કમ્ફર્ટનો અનુભવ કરવો પડી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : MP-રાજસ્થાનમાં ફેબ્રુઆરીમાં જ 'એપ્રિલ' જેવી ગરમી:હિમાચલમાં પ્રવાસીઓ વચ્ચે હિમવર્ષાની મજા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હોર્મુઝ બંધ નહીં થાય, પરંતુ પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે:₹4-5 ભાવ વધી શકે છે; સોનું ₹30 હજાર વધવાની અપેક્ષા; અમેરિકા-ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : અજિત પવારના પુત્રએ વીડિયો શેર કર્યો:આમાં પ્લેન કંપનીના માલિક પાયલટની સીટ પર સૂતા જોવા મળ્યા, લખ્યું-આવી બેદરકારી સહન નહીં થાય વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : કેનેડા ભારતને યુરેનિયમ આપશે:પીએમ મોદી અને કાર્નીની મુલાકાત બાદ કરાર, બંને દેશો ડિફેન્સ અને એનર્જી સેક્ટરમાં સહયોગ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : FII એ ફેબ્રુઆરીમાં ભારતીય બજારમાં ₹22,615 કરોડનું રોકાણ કર્યું:17 મહિનાનું આ સૌથી મોટું રોકાણ, ભારત-US ટ્રેડ ડીલ અને કોર્પોરેટ અર્નિંગ્સની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને આકરી સજા આપી:દરેક પ્લેયર્સને 50 લાખનો દંડ ફટકાર્યો; T20 વર્લ્ડ કપમાં PAKના ખરાબ પ્રદર્શનના કારણે એક્શન લીધું વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ અજમેરમાં વાંદરો બકરીનું બચ્ચું ઉપાડી ગયો રાજસ્થાનના અજમેરમાં એક વાંદરો અચાનક બકરીના નાના બચ્ચાને ઉપાડીને ઝાડ પર ચઢી ગયો. પછી લગભગ એક કલાક સુધી તેને વહાલ કરતો રહ્યો. આ દરમિયાન વાંદરાએ બકરીના બચ્ચાને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ભાસ્કરે 7 જગ્યાનું પનીર લેબમાં આપ્યું, રિપોર્ટમાં આવ્યું કાળુ સત્ય:સફેદ દેખાડવા રંગ, ફેટ કાઢેલું હલકી કક્ષાનું દૂધ 2. અમદાવાદનું એવું મંદિર જ્યાં 650 વર્ષથી મહંતે ઉંબરો ઓળંગ્યો નથી:નિયમ એવો કે મર્યા પછી પણ દેહ બહાર ન જાય, પરિસરમાં ઓપરેશન થિયેટર ઊભું કરવું પડ્યું 3. ભાસ્કર એક્સપ્લેનર : ઈરાનની ટોપ લીડરશિપ ધ્વસ્ત, હવે સત્તા કેવી રીતે ચાલશે:શું બળવો ખરેખર શક્ય છે; યુદ્ધમાં આગળ શું, 5 સવાલના જવાબ 4. મંડે મેગા સ્ટોરી : ઈરાન સહિત 7 દેશ પર હુમલા, અડધી દુનિયા પર નજર:ટ્રમ્પના નિર્ણયો માત્ર ધૂન કે કોઈ મોટું કાવતરું; આવી રીતે જ થાય છે સુપરપાવરનું પતન? 5. ‘ઈરાનનો દરેક બાળક ખામેનીનો બદલો લેશે’:‘લોહીનો બદલો લોહીથી’નાં નારા લાગ્યા, ઈઝરાયલી રાજદૂતે કહ્યું- હુમલા બાદ જયશંકરને જણાવ્યું 6. ભાસ્કર એક્સપ્લેનર : નેતન્યાહુની લડાઈમાં કેમ કૂદી પડ્યા ટ્રમ્પ:ઈરાનના પતનનો ખરો લાભ અમેરિકા નહીં, ઇઝરાયલને મળશે; સાઉદીએ કેવી રીતે ખેલ પાડ્યો 7. સરકાર ઉથલાવનારા Gen Z લીડર નેપાળની ચૂંટણીમાંથી ગાયબ:કહ્યું- અમે ભારત વિરોધી નથી, જરૂર પડ્યે ફરી આંદોલન કરીશું 8. જોજો...હોળીની મીઠાઈ ક્યાંક તબિયતની 'હોળી' ન કરી નાખે!:તહેવાર ટાણે બજારમાં વેચાઈ રહ્યો છે નકલી માવો, ઘરે બનાવી મીઠાશ વધારો; જાણો અસલી-નકલી પારખવાની ઘરેલું રીત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: વૃષભ, મિથુન અને તુલા રાશિને મિલકત સંબંધિત કાર્યમાં ભાગ્યનો સાથ મળશે, મીન જાતકોને લગ્નના યોગ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
દેશભરમાં સાયબર ગઠિયાઓ દ્વારા શેરબજાર, ડિજિટલ એરેસ્ટ કે એપીકે ફાઇલ મોકલી નિદોર્ષ લોકોને શિકાર બનાવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રગરમાં પણ સાયબર ફ્રોડથી 5 વર્ષમાં લોકોએ રૂ.6 કરોડથી વધુની રકમ ગુમાવી છે. વર્ષ 2021થી 2025ના ગાળામાં ઝાલાવાડમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં આશ્ચર્યજનક 5 ગણો વધારો નોંધાયો છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે ₹6 કરોડથી વધુની રકમ લોકો ગુમાવી ચૂક્યા છે. શેરબજારમાં રોકાણની લાલચ હોય કે ‘’ડિજિટલ અરેસ્ટ’’નો ડર, છેતરપિંડીનો આંકડો વ્યક્તિ દીઠ ₹2 લાખથી શરૂ કરી ₹30 લાખ સુધી પહોંચ્યો છે. સાયબર સુરક્ષાના અભાવે સતર્ક વેપારીઓથી લઈને શિક્ષિત યુવાનો પણ આ અદ્રશ્ય લૂંટારુઓનો શિકાર બની રહ્યા છે, જે જિલ્લા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. છેલ્લા 5 વર્ષનાં આંકડા દર વર્ષે 100 કેસ વધ્યા પ્રતિ કેસમાં નાગરિકે સરેરાશ રૂ.2 લાખથી રૂ.30 લાખ સુધીની રકમ ગુમાવી : આ વર્ષે 30 કેસમાં માત્ર 40 લાખ પરત આવ્યા મારા કામની વાત ગોલ્ડન અવરમાં ફરિયાદથી પૈસા પાછા મેળવવાની શક્યતા વધે જો તમારી સાથે સાયબર છેતરપિંડી થાય, સાયબર છેતરપિંડી થાય ત્યારે તુરંત 1930 નંબર પર કોલ કરવો અથવા www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ કરવી જોઈએ. ગોલ્ડન અવર એટલે કે રૂપિયા ગયાના પહેલા 1-2 કલાકમાં ફરિયાદ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે પોલીસ બેંક સાથે સંકલન સાધીને ગઠિયાના ખાતામાં ટ્રાન્સફર થયેલી રકમને ફ્રીઝ કે હોલ્ડ કરાવી શકે છે. અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારશો નહીં
હુમલો કરાયો:વડાલીના થેરાસણામાં પ્રેમસંબંધની જૂની અદાવતમાં ખેડૂત ઉપર હુમલો
વડાલીના થેરાસણામાં પ્રેમસંબંધની જૂની અદાવતમાં ખેડૂત યુવક પર 4 શખ્સોએ લાકડીઓ વડે હિંસક હુમલો કરી અપહરણ કરતાં 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. હતો. થેરાસણાના વતની અને ખેતીકામ કરતાં 42 વર્ષીય દિપકકુમાર અમિચંદભાઈ પટેલ ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ રાત્રે ગામના મહાકાળી માતાના મંદિરે હાજર હતા. તે દરમિયાન તેમના પુત્રનો ફોન આવ્યો હતો કે ધીરા કંબોયા ગામના પ્રભુભાઈ અને તેમનો દીકરો રાકેશ અન્ય વ્યક્તિઓ સાથે તેમના ઘરે આવ્યા છે. દિપકભાઈ ઘરે પહોંચતા જ રાજેન્દ્ર પટેલ ઉર્ફે રાકેશ, પ્રભુભાઈ રેવાભાઈ પટેલ (બંને રહે. ધીરા કંબોયા), રાજુભાઈ ઠાકોર (રહે. હઠોજ) તથા અન્ય એક અજાણ્યા શખ્સે તેમને ઘેરી લીધા હતા. આરોપી રાજેન્દ્રએ પોતાની પત્ની વર્ષાબેન દિપકભાઈના ઘરે છુપાયેલી હોવાની શંકા વ્યક્ત કરી હતી. આરોપીઓએ લાકડીઓ અને ગડદાપાટુ વડે દિપકભાઈને મારમાર્યો હતો. બાદમાં તેમને જબરદસ્તી ખેંચીને ઇકોમાં બેસાડી દઇ ગાડીમાં પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડા સમય બાદ આરોપીઓ તેમને વડાલી પોલીસ સ્ટેશન સામે હાઈવે પર ઉતારીને ફરાર થઈ ગયા હતા. 4 સામે ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે મારામારી થઇ હોવાની શંકાપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આશરે બે વર્ષ અગાઉ દિપકભાઈ અને આરોપી રાજેન્દ્રની પત્ની વર્ષાબેન વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત પ્રકાશમાં આવી હતી. બે મહિના અગાઉ વર્ષાબેન પિયર જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ આરોપીઓએ દિપકભાઈએ જ તેમને સંતાડ્યા હોવાની શંકા રાખી આ કૃત્ય આચર્યું હોવાનું જણાય છે.
દારૂ ઝડપાયો:વડાલી-ધરોઈ હાઈવે ઉપરથી દારૂ પકડાયો, બે શખ્સો ફરાર
સાબરકાંઠા LCB ટીમે વડાલી-ધરોઈ હાઈવે પર નાકાબંધી દરમિયાન વિદેશી બિયરનો જથ્થો લઈ જતાં બે બુટલેગરોને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈ બુટલેગરો બાઈક અને બિયરનો જથ્થો મૂકી ખેતરોમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ 91,140નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે. LCBની ટીમ ભાલુસણાની સીમમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વડાલી તરફથી નંબર પ્લેટ વગરની બાઇક શંકાસ્પદ હાલતમાં આવતી જોવા મળી હતી. પોલીસને જોઈ બાઈક પર સવાર બંનેએ બાઈક રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. પોલીસ ટીમ નજીક પહોંચે તે પહેલાં જ બંને આરોપીઓ અંધારામાં ખેતરોમાં નાસી છૂટ્યા હતા. પોલીસે દારૂ સહિત કુલ 91હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી હતી.
181ની ટીમની સુંદર કામગીરી:181 અભયમની ટીમે ભૂલા પડી ગયેલા 2 ભાઇઓને સહી સલામત પરિવારને સોંપ્યા
ખેડબ્રહ્મા તાલુકાના એક ગામમાંથી આઠેક વર્ષના કાકા-બાપાના બે ભાઈઓ રમતાં રમતાં ગામથી 35-40 કિલોમીટર દૂર પહોંચી ગયા બાદ કોઈ વ્યક્તિએ મધ્યરાત્રે 181 અભયમને બે અજાણ્યા બાળકો મળી આવ્યાનો ફોન કરતાં અભયમની ટીમ અને ચાઈલ્ડ હેલ્પ લાઈનની ટીમ સ્થળ પર પહોંચી પોલીસની મદદથી બાળકો સાથે વાતચીત કરી તેમના ગામે જઈ બંને બાળકોને તેમના માતા-પિતાને સુપરત કર્યા હતા. 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર સુરેખાબેન મકવાણાએ જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે થર્ડ પાર્ટીનો કોલ આવ્યો હતો કે અંબાજી જતાં હાઇવે પર ખેરોજથી થોડેક આગળ બે બાળકો મળી આવ્યા છે. જેથી 181અભયમની ટીમ અને પોલીસ તથા 1098ના સ્ટાફ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને બાળકો સાથે વાતચીત ચાલુ કરી હતી. વાતચીત દરમિયાન એક ગામનું નામ દેતાં બાળકોએ હા પાડતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ફોન કરી બીટ જમાદારનો સંપર્ક કરી તે ગામના સરપંચનો નંબર મેળવી તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે બપોરના બંને બાળકોને શોધવા નીકળેલા છીએ. સરપંચ સાથે બાળકોના માતા-પિતાના નામની ખરાઈ કરાવ્યા બાદ અભયમની ટીમ પોલીસ આઠેક વર્ષના બંને બાળકોને લઈને તેમના ગામમાં પહોંચી હતી જ્યાં જાણવા મળ્યું હતું કે માતા-પિતા મજૂરીએ ગયેલા હતા અને બંને બાળકો ગામમાંથી નીકળી ગયા હતા અને ખેરોજથી આગળ પહોંચી રાત પડી ગઈ હોવાથી એક બાંકડા ઉપર સૂઈ ગયેલા જોવા મળતાં થર્ડ પાર્ટીએ કોલ કર્યો હતો બંને બાળકોને અભયમની ટીમે રાત્રે 2 વાગ્યે ઘેર પહોંચાડ્યા હતા.
અરવલ્લી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં સામે આવેલ નકલી દૂધ કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ એકત્રિત થઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર અને પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા રજિસ્ટ્રારને સુપરત કર્યું હતું. હોળીના પર્વે કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક નકલી દૂધની હોળી કરી વિરોધ કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં કથિત નકલી દૂધ મામલે અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે સાબર ડેરી સંલગ્ન કેટલીક મંડળીઓમાં બિન-સભાસદો દ્વારા દૂધ ભરાવવાનો ગોટાળો બહાર આવ્યો છે. જે પશુપાલકોના હિતો વિરુદ્ધ છે. તંત્રનું મૌન અને સંડોવણીની શક્યતા ગંભીર ચિંતા ઉભી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી પ્રતિકાત્મક રીતે નકલી દૂધની હોળી પ્રગટાવી ભ્રષ્ટાચાર વિરોધી આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
પાઇપથી હુમલો:નાના ભાઈ સાથે બોલાચાલી અંગે પૂછતાં મોટાભાઈ પર 7 શખ્સોનો પાઇપથી હુમલો
વિજાપુરમાં નાના ભાઈ સાથે થયેલી બોલાચાલી અંગે પૂછવા ગયેલા મોટાભાઈને 7 શખ્સોએ ધોકા અને લોખંડની પાઇપથી માર મારી હાથે ફેક્ચર કરી નાખ્યું હતું. વિજાપુરના ભાટિયા વાસમાં રહેતા અને પાર્લર ચલાવતા અશ્વિનસિંહ દિનેશસિંહ ચૌહાણને 28 ફેબ્રુઆરીના રોજ જાણ થઈ હતી કે, તેમના નાના ભાઈ રેણુસિંહ અને વિષ્ણુભાઈ બારોટને કોઈ વાતે બોલાચાલી થઈ હતી. તેઓ એક્ટિવા લઈને ટીબી રોડ તરફથી ઘરે જતા હતા. તે સમયે હિંમતનગર રોડ પર રુદ્ર ગેસ્ટ હાઉસ નીચે વિષ્ણુભાઈ મણિલાલ બારોટ, સિંધી રસુલભાઈ અબ્દુલભાઈ અને ભાવિન બારોટ ઉભા હોય, તેઓ તેમની પાસે જઈને તેમના ભાઈ સાથે શું બાબતે બોલાચાલી થઈ હતી તે પૂછતાં વિષ્ણુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી, આના હાથ પગ ભાગી નાખો ફરિયાદ થશે તો હું બેઠો છું તેમ કહેતાં વિષ્ણુભાઈ સહિત સાત શખ્સોએ ધોકા અને લોખંડની પાઇપથી માર માર્યો હતો. હુમલામાં વિષ્ણુભાઈએ હાથ ઉપર, રસુલભાઈએ લોખંડની પાઇપ બરડામાં અને અન્ય શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. આજુબાજુથી ટોળું આવી જતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. અશ્વિનસિંહને પહેલાં વિજાપુર અને ત્યાંથી હિંમતનગર સિવિલમાં સારવાર માટે રિફર કરાયા હતા, જ્યાં હાથે ફેક્ચરનું નિદાન થયું હતું. પોતાની પર હુમલો કરનાર વિષ્ણુ બારોટ સહિત 7 શખ્સો સામે તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
તારંગા હીલ- અંબાજી- આબુરોડ નવી રેલવે લાઇન પ્રોજેક્ટમાં રેલવે વિભાગે વધુ એક મહત્વનું સીમાચિહ્ન પાર કર્યું છે. પશ્ચિમ રેલવેના મહેસાણા-વરેઠા સેક્શન પર આવેલા વરેઠા રેલવે સ્ટેશન ખાતે અંબાજી નવી લાઇન કનેક્ટિવિટી માટેનું ક્રિટિકલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ વર્ષોથી જ્યાં ટ્રેનના પાટા પૂરા થઈ જતા હતા, તે ડેડ-એન્ડ હવે ભૂતકાળ બની ગયો છે. મહેસાણાથી આવતી ટ્રેનો માટે વરેઠા સ્ટેશન અત્યાર સુધી છેલ્લું સ્ટેશન હતું. એટલે કે વરેઠા સ્ટેશન પર ટ્રેનનો છેલ્લું સ્ટોપેજ બની ગયો હતો. જોકે, તારંગાહીલ-અંબાજી-આબુ રોડની નવી રેલવે લાઇન માટે વરેઠા સ્ટેશન પરનું ડેડ એન્ડ હટાવવું જરૂરી હતું. જેને લઇ પશ્ચિમ રેલવે દ્વારા નવી લાઇન નાખવા માટે જૂના ડેડ-એન્ડ ટ્રેકને દૂર કરી તેને નવા એલાઇનમેન્ટ (નવા રૂટ) સાથે જોડી દેવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન સ્ટેશનના યાર્ડ લેઆઉટમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેક, ઇલેક્ટ્રિક લાઇન અને ટેકનિકલ સિગ્નલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવ્યા છે. ડેડ-એન્ડ દૂર કરીને ટ્રેકને આગળ અંબાજી અને આબુરોડ તરફ લંબાવવાનો માર્ગ મોકળો થયો છે. નવા એલાઇનમેન્ટ મુજબ સ્ટેશનના યાર્ડમાં ફેરફાર કરવાથી ભવિષ્યમાં અહીંથી પસાર થતી માલગાડીઓ અને એક્સપ્રેસ ટ્રેનોને વધુ સ્પીડ અને સુરક્ષા મળશે. ઇલેક્ટ્રિક લાઇન અને નવા સિગ્નલિંગ સિસ્ટમના ઇન્સ્ટોલેશનથી આ રૂટ હવે આધુનિક બ્રોડગેજ માપદંડો મુજબ તૈયાર થઈ રહ્યો છે. અંબાજી નવી લાઇન કનેક્ટિવિટી માટેનું ક્રિટિકલ ઓપરેશન પૂર્ણ કરાયું
ભારત દેશની સૌથી પ્રસિદ્ધ 10 હોળીઓમાં મેઘરજના બાંઠીવાડાની હોળીને પાંચમું ગૌરવવંતુ સ્થાન મળ્યું છે. હોળીના તહેવારના દિવસના બદલે ધુળેટીના દિવસે ઉજવાતા હોળીનો ઉત્સવમાં આસપાસના 15 થી 17 કિલોમીટર વિસ્તારના ગામડાઓના લોકો જોડાય છે. તેવું ઠાકોર સમાજના અગ્રણી ભીખાજી ઠાકોરે જણાવી આ બાબતે ગૌરવની ક્ષણ કહી હતી. દેશની 10 સૌથી પ્રખ્યાત હોળીઓ 1. મથુરા અને વૃંદાવનની હોળી : અહીં બાંકે બિહારી મંદિરે ફૂલો અને રંગોની હોળી વિશ્વમાં સૌથી પ્રખ્યાત છે 2. બરસાના (યુપી) લાઠમાર હોળી જ્યાં નંદગાંવના ગોવાળો પર બરસાનાની ગોપીઓ લાકડીઓ વરસાવે છે 3. પુષ્કર (રાજસ્થાન) અહીંની કપડા-ફાડ હોળી અને વિદેશી પર્યટકોનો ભારે જમાવડો વિશ્વભરમાં જાણીતો છે 4. ડાકોર (ગુજરાત) વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો મેળો અને ફાગણી પૂનમનો ભવ્ય ઉત્સવ 5. બાંઠીવાડા – મેઘરજ (ગુજરાત) ઊંચાઈ (50-60 ફૂટ) અને ગ્રામીણ પરંપરાની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતનું ગૌરવ6. શાંતિનિકેતન (બંગાળ) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા શરૂ કરાયેલ બસંત ઉત્સવ, જે સંગીત અને નૃત્ય માટે જાણીતો છે 7. આનંદપુર સાહિબ (પંજાબ) અહીં હોળીને હોલા મોહલ્લા તરીકે ઉજવાય છે, જેમાં શીખ સમુદાયના શૌર્ય અને યુદ્ધ કળાના દર્શન થાય છે 8. હરકૂવા - પંચમહાલ (ગુજરાત) ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વની સૌથી ઊંચી હોળીઓમાંની એક (70-80 ફૂટ)9. ઉદયપુર (રાજસ્થાન) શાહી હોળી જેમાં રાજવી પરિવાર દ્વારા હાથી-ઘોડાના ઠાઠ સાથે હોલિકા દહન કરાય છે 10. કાઠમંડુ (નેપાળ) અહીં 'લોલા (પાણી ભરેલા ફૂગ્ગા) થી હોળી રમવાની પરંપરા છે. જે આખા શહેરમાં ધામધૂમથી ઉજવાય છે
ફ્લાઈટ રદ થતાં લોકો વિદેશમાં ફસાયા:સાબરકાંઠાના 250થી વધુ ગલ્ફ દેશોમાં ફસાયા
અમેરિકા અને ઇઝરાયલે શનિવારથી ઈરાન પર હુમલો શરૂ કર્યા બાદ ઈરાને પણ પાડોશી ખાડી દેશો પર મિસાઈલ હુમલા કરી વળતો જવાબ શરૂ કરી દેતાં ગલ્ફ દેશોના એરપોર્ટ બંધ કરી તમામ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. જેને કારણે રમજાન માસમાં ઉમરા કરવા મક્કા મદીના ગયેલા અને ઉમરા માટે ગત શુક્ર-શનિવાર દરમિયાન પહોંચેલ લોકો તથા દુબઈ ફરવા ગયેલ પ્રવાસીઓ દુબઈ અને કુવૈત સહિતના વિસ્તારોમાં ફસાઈ ગયા છે. હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લામાંથી અઢીસોથી વધુ લોકો ઉમરા માટે ગયા છે. જો કે ભારતીય દુતાવાસે તમામનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ઈરાને ખાડી દેશોમાં કરેલ હુમલા ને લઈ તમામ ફ્લાઈટો બંધ થઈ જતાં ઉમરા કરવા ગયેલ લોકો અને ફરવા માટે ગયેલ લોકો ફસાઈ ગયા છે. ત્રણ ત્રણ દિવસનો સમય વિતી જવા તથા સ્થાનિક પ્રશાસનની કે ભારતીય દુતાવાસની કોઈ ભૌતિક મદદ મળી નથી. જે કઈપણ ટેમ્પરરી રહેવા જમવાની વ્યવસ્થા થઈ છે તે ટ્રાવેલ એજન્ટો કે જાતે જ કરાઇ છે. મિસાઈલ અને સાયરનના અવાજથી ભયાવહ વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. તમામની એક જ માંગ છે કે શક્ય બને તેટલું જલ્દી સુરક્ષિત પરત આવવાની ભારત સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિક પ્રશાસનની મદદ મળતી નથી બ્રોડ વે ટ્રાવેલ્સના ઇનાયતભાઈ બલોચે જણાવ્યું કે મારા 40 પ્રવાસી છે તેમાં 7 સાબરકાંઠાના છે. 10 ફેબ્રુઆરીએ ઉમરા માટે મોકલ્યા હતા. 8 દિવસ મક્કા રહ્યા અને 10 દિવસ મદીના રહ્યા બાદ 28 ફેબ્રુઆરીએ પરત આવવા ઝીદ્દાહ એરપોર્ટ પહોંચતા ફ્લાઈટ બંધ હોવાનું જવાની જણાવી બહારથી જ રવાના કરી દીધા હતા. જેથી ગ્રુપ લીડરને કહી તમામને પરત મદીના લઈ જઈ હોટલમાં રાખ્યા છે. બધું એકાએક થઈ ગયું છે. સ્થાનિક પ્રશાસનની મદદ મળતી નથી. ભારતીય દુતાવાસ પણ ભારતીયોને પરત લાવવાના આયોજન બાબતે સ્પષ્ટતા કરતું નથી. બધા પરત આવવા ભારત સરકારની મદદની રાહ જોઈ રહ્યા છીએ: ડોક્ટર સુરતી હિંમતનગરના ડો.એમ.એમ.સુરતીએ જણાવ્યું કે 28 ફેબ્રુઆરીએ સવારે ફલાઈટ હતી હું અને મારી પત્ની ઉમરા કરવા આવી રહ્યા હતા. એરલાઇન્સની ફ્લાઈટ કુવૈતમાં ટ્રાન્સફર કરવાની હતી. તમામ એરલાઇન્સ બંધ હોવાની જાણ કરી અમને કુવૈતમાં જ ઉતારી દીધા છે. એરપોર્ટથી દસેક કિલોમીટર દૂર હોલી ડે ઇન અને ક્રાઉન પ્લાઝા હોટલમાં રોકાયા છીએ. પંદર જણા છીએ. એરપોર્ટની નજીક હોવાથી મિસાઈલો, બ્લાસ્ટ અને સાયરનના અવાજ ગુંજતા રહે છે. જેને કારણે અનસરટેનિટી અને ભયના વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હોટલ બહાર જતાં પણ ખચકાટ અનુભવાય છે આજે સવારે ઇન્ડિયન એમ્બેસીમાંથી મિસ્ટર રમીઝ નામના કર્મચારી આવ્યા હતા. બધા મુસાફરો સાથે વાતચીત કરી ખબર અંતર પૂછી હતી અને વહેલી તકે વ્યવસ્થા કરવાની હૈયાધારણાં આપી હતી. અમે બધા પરત આવવા ભારત સરકારની મદદની રાહ જોઈ રહ્યા છીએ. દુબઇ ફરવા ગયેલ આખો પરિવાર ફસાઈ ગયોવિસનગરના વતની મેહુલભાઈ બારોટ પરિવાર સાથે દુબઈ ફરવાગયા હતા. પરંતુ યુદ્ધને કારણે ફસાઈ ગયા છે એમણે કહ્યું કેઅવારનવાર એલર્ટ આવે છે. બાળકો સાથે છે હોટલ બહારનુંવાતાવરણ આમ તો સામાન્ય છે. પરંતુ હાલની સ્થિતિ જોતા ચિંતા પણએટલી જ થાય છે. ઉત્તર ગુજરાતના ઘણા લોકો અહીં રોકાયા છે અનેફ્લાઈટો શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
હોળી ધુળેટીના તહેવારો દરમિયાન મોજ મસ્તીનું પ્રમાણ વધી જતાં અકસ્માત અને ઝઘડા વધી જવાને કારણે ઇમરજન્સી કોલની પણ સંખ્યા વધી જતી હોવાથી 108 દ્વારા પાછલા વર્ષોના ડેટાનું પૃથક્કરણ કરી સંખ્યા અને સ્થળ ચિન્હિત કરી આવા સ્થળની નજીક વધારાની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. સાબરકાંઠા જિલ્લામાં આવા 17 હોટસ્પોટ ચિન્હિત કરાયા છે. સાબરકાંઠા જિલ્લામાં અગાઉના વર્ષોના આંકડા મુજબ ઇમરજન્સી કોલની વિગતો જોઈએ તો હોળીના દિવસે સરેરાશ 24.47 ટકા અને ધુળેટીના દિવસે સરેરાશ 11.70 ટકા સુધીનો વધારો નોંધાવાનો અંદાજ મૂકાયો છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 94 કોલ્સ મળતાં હોય છે પરંતુ આ વર્ષે હોળીના દિવસે 117 કોલ મળવાનો અંદાજ મૂકાયો છે. હોળી ધુળેટીનું પર્વ રંગોનું પર્વ હોવાથી આ સમયગાળા દરમિયાન ખાસ કરીને બધા મસ્તીમાં હોવાને કારણે અકસ્માત, વાદવિવાદ, ઝઘડા, ઊંચાઈએથી પડવું, પાણીમાં ડૂબવું મારામારી સહિતના બનાવોમાં વધારો થાય છે. 108ના ડિસ્ટ્રિકટ મેનેજર જૈમીન પટેલે જણાવ્યું કે પાછલા વર્ષોના ઇમરજન્સી કોલનો ડેટા અને ઇમરજન્સી સ્પોટ ગુગલ મેપ લોકેશનનું વિશ્લેષણ કરવા આધારે સાબરકાંઠા જિલ્લામાં 17 હોટસ્પોટ કે જ્યાં હોળી ધુળેટીના પર્વ દરમિયાન ઝઘડા માર્ગ અકસ્માત મારામારી ડૂબવાના અને ઈજાના સૌથી વધુ બનાવ બન્યા છે. આ તમામ વિસ્તારોને હોટસ્પોટ તરીકે ચિન્હિત કરાયા છે. આ હોટસ્પોટ ખાતે નહીં પરંતુ તેની નજીકમાં વધારાની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. જેથી ભોગ બનનારને સમય વેડફ્યા વગર સારવાર ઉપલબ્ધ કરાવી શકાય. હાલમાં સાબરકાંઠા જિલ્લામાં 47 એમ્બ્યુલન્સ કાર્યરત છે. તહેવારો દરમિયાન 20 ટકા જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાશે. આ હોટસ્પોટ જ્યાં એમ્બ્યુલન્સ તૈનાત રહેશે 1. પ્રાંતિજ ચોકડી2. તલોદ BPCL પેટ્રોલ પંપ 3. રણાસણ CNG પંપ4. ગાંભોઇ ચોકડી 5. ઇલોલ ચોકડી 6. સિવિલ હોસ્પિટલ7. બડોલી પેટ્રોલ પંપ 8. ઇડર એપોલો સર્કલ 9. વડાલી ચોકડી 10. આતરસુંબા આશ્રમ ચોકડી 11. અંબાજી મંદિર ખેડબ્રહ્મા 12. મટોડા ચોકડી13. ખેરોજ ચોકડી 14. પોશીના સેવા સદન15. લાંબડીયા ચોકડી16. જાદર મંદિર 17. ચોરીવાડ પેટ્રોલપંપ
હિમાચલ પ્રદેશના મંડી ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા વાવ તાલુકાના બીઆરસી વિક્રમભાઇ પૂંજીરામ કાંતરેજાએ ફ્રી-સ્ટાઈલ કુસ્તીમાં કાંસ્ય પદક બ્રોન્ઝ મેડલ મેળવી અદભૂત સિદ્ધિ હાંસલ કરી સમગ્ર વાવ-થરાદનું ગૌરવ વધાર્યું હતું. તા.26થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં દેશભરના રાજ્યોની સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વાવ તાલુકા બીઆરસી વિક્રમભાઇ પૂંજીરામ કાંતરેજાએ 125 કિલો વજન જૂથ (ફ્રી સ્ટાઈલ) માં ભાગ લઈ વિવિધ રાજ્યોના મજબૂત મલ્લોને હંફાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ બદલ સરકાર તરફથી તેમને મેડલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારની સાથે પ્રોત્સાહન રૂપે એક ખાસ ઇન્ક્રીમેન્ટનો લાભ પણ મળવાપાત્ર થશે.પાયાથી શિખર સુધીની સફર કરતા વિક્રમભાઈની આ સફર કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. તેમણે કુસ્તીની શરૂઆત માત્ર 25 કિલોના વજન જૂથથી કરી હતી, જે આજે 125 કિલો સુધી પહોંચી છે. તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 45 વખત નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો અને 25થી વધુ મેડલ જીત્યા છે. સિવિલ સર્વિસ સ્પર્ધામાં તેમણે અત્યાર સુધીમાં કુલ 5 મેડલ મેળવ્યા છે, જેના કારણે સરકાર દ્વારા તેમને કુલ 5 ઇન્ક્રીમેન્ટનો વિશેષ લાભ મળ્યો છે. ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભમાં તેઓ સતત 5 વખત રાજ્ય કક્ષાએ વિજેતા બન્યા છે.વિક્રમભાઈ માત્ર પોતે જ પ્રેક્ટિસ નથી કરતા, પરંતુ પોતાની આનંદપ્રકાશ વ્યાયામ શાળા દ્વારા ખેલાડીઓને તૈયાર કરી રહ્યા છે.
ડીસા તાલુકાના પમરુમાં નર્મદા પાઇપલાઇન કામ અધૂરું મુકાતા ખેડૂતોમાં રોષ છવાયો છે.જેમાં પાઇપલાઇનની કામગીરીના કારણે ખેતરો ખોદેલા હાલતમાં જ પડ્યા હોવાથી ખેડૂતો નવી વાવણી કરી શકતા નથી.આથી ખેડૂતોએ નુકશાનીનું વળતર આપી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર દિવસેને દિવસે ઘટી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા નર્મદાનું પાણી તળાવો સુધી પહોંચાડવા પાઇપલાઇન યોજનાની કામગીરી ચાલી રહી છે. જેમાં ધ્રાંડવથી ડીસાના ઝેરડા ગામના ગુલાબસાગર તળાવ સુધી ચાલી રહેલી આ કામગીરી વચ્ચે પમરુ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગામના જીવાભાઈ ચૌધરી, હરદાસ ચૌધરી અને લક્ષ્મણ ચૌધરી સહિતના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા એકથી દોઢ મહિનાથી પાઇપલાઇનનું કામ અધૂરું મુકાઈ ગયું છે. ખેતરોમાં ખોદકામ કરીને પાઇપ નાખવાનું અડધું કામ કર્યા બાદ કોન્ટ્રાક્ટર સ્થળ છોડીને જતા રહ્યા છે. પરિણામે ખેતરો ખોદેલા હાલતમાં જ પડ્યા હોવાથી ખેડૂતો નવી વાવણી કરી શકતા નથી.
ઊર્જા બચત માટે 5 કિમી મેરેથોનનું આયોજન:સેવ એનર્જી, સેવ નેશન દોડમાં 600 શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો
પાલનપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા ઊર્જા સંરક્ષણ અને વીજ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા સેવ એનર્જી, સેવ નેશનના સૂત્ર સાથે 5 કિમી મેરેથોન યોજાઈ હતી. મુખ્ય ઇજનેર જે.આર. ચૌધરીએ સવારે 6:30 વાગ્યે એરોમા સર્કલથી આ દોડને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો, જે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સવારે 8:00 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટિઝન્સ અને વિવિધ ક્લબના સભ્યો સહિત 600થી વધુ નાગરિકોએ ભાગ લઈ ઊર્જા બચતની પ્રતિજ્ઞા લીધી હતી. દોડ દરમિયાન બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા સ્માર્ટ મીટરના ફાયદા, ગ્રીન એનર્જી અને વીજ સલામતી અંગેના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. મુખ્ય ઇજનેર જે.આર. ચૌધરી અને અધિક્ષક ઇજનેર વી.બી. બોડાતે જણાવ્યું હતું કે સ્વસ્થ જીવન અને ઊર્જાની બચત જ ઉજ્જવળ ભવિષ્યની સાચી ચાવી છે. આ પ્રસંગે દોડ પૂર્ણ કરનાર તમામ સ્પર્ધકોને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
સુઈગામની ધોરણ-5માં ભણતી નાનકડી વિદ્યાર્થિનીએ પાઠ્યપુસ્તકમાં છપાયેલી એક ગંભીર ભૂલ પકડી છે. જીસીઆરટી દ્વારા પ્રકાશિત સ્વઅધ્યયન પોથીના પ્રથમ જ પેજ પર રાષ્ટ્રીય પ્રતિક અશોક ચક્રમાં 24 આરાની જગ્યાએ 27 આરા દર્શાવવામાં આવ્યા હોવાની ખામી સામે આવી છે. સુઈગામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાની ધોરણ-5માં ભણતી વિદ્યાર્થીની આરોહીબેને શિક્ષણ વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે લાવી છે. સોમવાર સવારે આરોહીએ પોતાના પિતાને અશોક ચક્રમાં કેટલા આરા હોય છે તે અંગે પ્રશ્ન કર્યો હતો. પિતાએ 24 આરા હોવાનું જણાવ્યું, ત્યારે આરોહીએ પોતાની સ્વઅધ્યયન પોથીમાં 27 આરા દર્શાવાયા હોવાની વાત કહી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, જીસીઆરટી દ્વારા તૈયાર અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત આ પોથીના પ્રથમ જ પેજ પર અશોક ચક્રનું ખોટું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. આ પોથી સમગ્ર બનાસકાંઠા સહિત રાજ્યભરની શાળાઓમાં વપરાતી હોવાથી હજારો વિદ્યાર્થીઓ ખોટી માહિતી સાથે અભ્યાસ કરી રહ્યા હોવાની ચિંતા ઉભી થઈ છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં 24 આરા જ હોય છે. નિષ્ણાતો આને ગંભીર બેદરકારી ગણાવી તાત્કાલિક તપાસ અને સુધારાની માંગ કરી રહ્યા છે. તે અશોક ચક્ર નથી. ફ્કત એક ડિઝાઇન છે જિલ્લા ડાયટના પ્રાચાર્ય ધુડાભાઇ બ્રાહ્મણે જણાવ્યું હતું કે, ધોરણ-5 ની સ્વઅધ્યયન પોથીમાં પ્રથમ પાને જે અશોક ચક્ર જેવું જે દેખાય છે તે અશોક ચક્ર નથી. ફ્કત એક ડિઝાઇન છે.જે ધ્યાને આવ્યું છે. અને સુધારી નવી સ્વઅધ્યયન પોથીમાં સુધરીને આવશે.
દબાણ:પાલનપુર પાલિકાએ 5 વર્ષ પૂર્વે 7 દુકાનો તોડી નાંખ્યા પછી દબાણકારોએ જગ્યા પચાવી પાડી
પાલનપુર નગરપાલિકા દ્વારા દિલ્હીગેટ વિસ્તારમાં લાલ દવાખાના સામે રોડની સાઇડમાં આવેલી સાત દુકાનો પાંચ વર્ષ અગાઉ તોડી પાડી હતી. જ્યાં હવે વાહનો પાર્કિગ કરવામાં આવતા હોઇ તેમજ શાકભાજી ફળો, નાસ્તાની લારીઓ ઉભી રહેતી હોઇ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. પાલનપુર દિલ્હીગેટથી સિમલાગેટ જવાના માર્ગની બાજુમાં લાલ દવાખાના આગળ રહેલી સાત દુકાનો નગરપાલિકાએ પાંચ વર્ષ અગાઉ તોડી પાડી હતી. જેના બદલામાં કંથેરિયા હનુમાનજી રોડ ઉપર જગ્યા આપવામાં આવી છે. જોકે, ખુલ્લી થયેલી આ જગ્યા ઉપર વર્તમાન સમયે શાકભાજી, ફળો, નાસ્તાની પાલનપુર પાલિકાએ 5 વર્ષ પૂર્વે 7 દુકાનો તોડી ત્યાં લારીઓ ઉભી રહે છે. વાહન પાર્કિંગ પણ થતું હોઈ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આ જગ્યા ખુલ્લી રાખવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે. આ અંગે પાલનપુર નગરપાલિકા દબાણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રાફિક ઝુંબેશ દરમિયાન અવાર-નવાર આ સ્થળેથી લારી ગલ્લા દૂર કરવામાં આવે છે. જો કોઈ રજૂઆત મળે તો ફેન્સિંગ તારની વાડ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. લોકોનો આક્રોશ, પાલિકાનો ઉદેશ્ય પૂરો થયો નથી 1. ઇમરજન્સીમાં દર્દીને લઈને આવીએ છીએ ત્યારે વાહન ઊભું રાખવાની જગ્યા પણ મળતી નથી. આખો રસ્તો લારીઓ અને આડેધડ પાર્કિંગથી ભરેલો હોય છે. મંજુલાબેન ગેહલોત (દર્દીના સગા) 2. ટ્રાફિક ન થાય તે માટે નગરપાલિકાએ દુકાનો તોડી હતી. જોકે, વર્તમાન સમયે દબાણકારોએ જગ્યા પચાવી પાડી હોવાથી પાલિકાનો મુળ ઉદેશ્ય પુરો થયો નથી : અમરસિંહ રાજપૂત 3. પાલિકાએ જે જગ્યા ઉપરથી સાત દુકાનો દૂર કરી હતી. ત્યાં ફેન્સિંગ તારની વાડ કરવામાં આવે તો શાકભાજી, ફળોની લારીઓ તેમજ વાહનો પાર્ક નહી થાય : વિજય પટેલ
ભાસ્કર ઇમ્પેક્ટ:પાલનપુર-જલોત્રાને સાંકળતા માર્ગ ઉપર સફેદ પટ્ટા દોરાયા
પાલનપુર-જલોત્રા વચ્ચે આંતરિક માર્ગ નવો બનાવાયો હતો. જોકે, છ માસ સુધી બમ્પ ઉપર તેમજ માર્ગ વચ્ચે સફેદ પટ્ટા દોરવામાં આવ્યા ન હોવાથી અકસ્માતોની વણજાર લાગી હતી. આ અંગે દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સફેદ પટ્ટા દોરવામાં આવતાં વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે. પાલનપુરથી જલોત્રાને સાંકળતા વાયા મોતીપુરા, આંબેથા, ધનિયાણા, સાંબરડા પાટીયા, ભાગળ, વાસણનું પરૂ, વાસણ, ધાણધા અને માણકા માર્ગ છ માસ અગાઉ નવો બનાવવામાં આવ્યો હતો. જેના ઉપર અનેક રજૂઆતો બાદ બમ્પો બનાવાયા હતા. જોકે, સફેદ પટ્ટા દોરવામાં આવ્યા ન હોવાથી અકસ્માતો સર્જાતા હતા. આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ વચ્ચે અને બમ્પ ઉપર સફેદ પટ્ટા દોરવામાં આવતાં વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે.
અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધની અસર:પાલનપુરના દુબઇ ફરવા અને ધંધાર્થે ગયેલા 20 યુવકો અટવાયા
મધ્યપૂર્વમાં ઇઝરા યલ અને ઇરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવની અસર હવે બનાસકાંઠા જિલ્લામાં પણ વર્તાઈ રહી છે. પાલનપુરના એક પરિવારના આશરે 20 જેટલા યુવકો રોજગાર તથા ફરવા માટે દુબઇ ગયા છે અને હાલ ત્યાં જ અટવાયેલા છે. યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે કેટલીક ફ્લાઈટો રદ કરવામાં આવી છે. તેમજ કેટલાક હવાઈ માર્ગો અને એરબેઝ બંધ હોવાના અહેવાલ છે. પરિણામે તેઓ તાત્કાલિક ભારત પરત ફરી શકે તેવી સ્થિતિમાં નથી. પરિવારજનો દર 1-2 કલાકે વીડિયો કોલ કરીને સંતાનોની સલામતી અંગે માહિતી મેળવી રહ્યા છે. યુવકો પરિવારને આશ્વાસન આપી રહ્યા છે કે દુબઈમાં હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, શોપિંગ મોલ અને હોટલો નિયમિત રીતે કાર્યરત છે અને તેઓ પોતાના નિવાસસ્થાને સુરક્ષિત છે. છતાં આંતરરાષ્ટ્રીય તણાવ અને અફવાઓને કારણે માતા-પિતાની ચિંતા ઓછી થતી નથી. આ દરમિયાન દાંતીવાડા તાલુકાના જાત ગામની 24 વર્ષીય છાયા ઉદાભાઈ પરમાર પણ દુબઈમાં ફસાઈ જતાં પરિવાર ચિંતામાં મૂકાયો છે. મુંબઈમાં એક્ટિંગ ક્ષેત્રે કાર્યરત છાયા 22-02-2026ના રોજ ઇવેન્ટ માટે દુબઈ ગઈ હતી. 01-03-2026ની વતન પરત આવવાની ફ્લાઈટ અચાનક રદ થતાં પરિવાર ચિંતિત બન્યો હતો. જોકે હવે 04-03-2026ની નવી ટિકિટ બુક થઈ હોવાનું અને તે જ તારીખે પરત ફરવાની શક્યતા હોવાનું છાયાએ પરિવારને જણાવ્યું છે. હાલ તેણી સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. અબુધાબીમાં જિલ્લાના યુવકો ધંધાર્થે સ્થાયી છેપાલનપુર, ડીસા, ભાભર, થરાદ સહિતના અંતરિયાળ ગામોના અનેક યુવાનો ધંધાર્થે ટેક્સ બેનિફિટ માટેના કેટલાક દુબઈ બેઠા વેપાર કરી રહ્યા છે. નામ ન આપવાની શરતે જણાવ્યું કે દુબઈમાં બધું જ નોર્મલ છે. મોટા મંદિર બંધ છે. જ્યારે એમબીએ કરવા માટે ગયેલી પાલનપુરની જૈન પરિવારની દીકરીએ કહ્યું કે અત્યારે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. કોલેજમાં બોલાવતા નથી. પણ બધું જ નોર્મલ જેવું લાગે છે.
દુર્લભ ખિસકોલી કેમેરામાં કેદ થઈ:પાલનપુરમાં દુર્લભ શ્વેત આલ્બિનો ખિસકોલી જોવા મળી
પાલનપુરમાં પૂર્વ પોલીસ સ્ટેશનની બહારના વિસ્તારમાં પ્રથમ વખત દૂધ જેવી શ્વેત આલ્બિનો ખિસકોલી નજરે પડી છે. પર્યાવરણપ્રેમી પ્રકાશકુમાર બોરેશાની નજર આ આ ખિસકોલી ઉપર પડતાં તેમણે આ દુર્લભ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી હતી. પાલનપુર આરએફઓ ચેતનસિંહ બારડે જણાવ્યું હતું કે, આ કોઈ અલગ પ્રજાતિ નથી પરંતુ એક આનુવંશિક ખામી છે. શરીરમાં મેલાનિન નામના રંજકદ્રવ્યના સંપૂર્ણ અભાવને કારણે ખિસકોલીનો રંગ એકદમ સફેદ થઈ જાય છે. આ ખિસકોલીની સૌથી મોટી ઓળખ તેની લાલ કે ગુલાબી આંખો છે. જો સફેદ ખિસકોલીની આંખો કાળી હોય, તો તેને લ્યુસિસ્ટીક કહેવાય છે. પરંતુ આ લાલ આંખો તેને સાચા અર્થમાં આલ્બિનો બનાવે છે. કુદરતમાં આવી આલ્બિનો ખિસકોલી 1,00,000 માં માત્ર એક જ હોય છે. શિકારી પક્ષીઓ કે બિલાડી જેવા પ્રાણીઓની નજરમાં જલ્દી આવી જાય છે, જેના કારણે તેમનું આયુષ્ય ટૂંકું હોય છે. અગાઉ ભારતના રાજસ્થાન અને તેલંગાણામાં આવી ખિસકોલીઓ દેખાઈ હતી, પરંતુ પાલનપુરમાં આ પ્રથમ ઘટના છે.
તહેવારને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું:પાટણમાં હોળી-ધુળેટીને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
પાટણ શહેરમાં હોળી અને ધુળેટીના તહેવારને લઈને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પાટણ બી-ડિવિઝન પીઆઇની દેખરેખ હેઠળ પોલીસ કાફલા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રેલવે સ્ટેશનથી શરૂ કરીને બગવાડા દરવાજા સુધીના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. તહેવારોમાં જનતા નિર્ભયતાથી પર્વની ઉજવણી કરી શકે તે હેતુથી પોલીસ દ્વારા આ રૂટ માર્ચ યોજાઈ હતી.
કોર્ટનો ચુકાદો:લોન ભરપાઈ ન કરતા ખેડૂત અને જામીનદારને 15.01 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ
હારિજ તાલુકાના માંસા ગામના એક ખેડૂત અને તેમના જામીનદારને યુકો બેંકના લેણા પેટે રૂ. 15,01,257 વાર્ષિક 6 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા જજ એન.વી. પઠાણે હુકમ કર્યો છે. હારિજ તાલુકાના માંસા ગામના ઠાકોર રામાજી પબાજીએ વર્ષ 2014માં પોતાની ખેતીવાડીના વિકાસ માટે યુકો બેંક, પાટણ શાખામાંથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના હેઠળ રૂ. 5 લાખની લોન મેળવી હતી. આ લોન પ્રક્રિયામાં ઠાકોર સોમાજી હરીસીંગજીએ જામીનદાર તરીકેની જવાબદારી સ્વીકારી હતી. વર્ષ 2019માં આ લોનનું રિન્યુઅલ પણ કરવામાં આવ્યું હતું અને કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં બેંક દ્વારા વધારાની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. લોન લીધા બાદ લાંબો સમય વીતવા છતાં ખેડૂત કે જામીનદાર દ્વારા બેંકમાં નિયમિત હપ્તા કે નાણાં જમા કરાવવામાં આવ્યા નહોતા. વારંવારની જાણ છતાં રકમ ભરપાઈ ન થતા બેંક દ્વારા આ ખાતાને NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) જાહેર કરવામાં આવ્યું હતું. અંતે બેંકે રિકવરી માટે સીવીલ પ્રોસીજર કોડના ઓર્ડર-37 મુજબ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ખેડૂતને વારંવાર સમન્સ બજાવ્યા હોવા છતાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. તેમની સતત ગેરહાજરીને કોર્ટે બેંકના દાવાનો ગર્ભિત સ્વીકાર માની લીધો હતો. જોકે, કોર્ટે વ્યાજ દરમાં રાહત આપતા બેંકની 9 ટકાની માંગ સામે 6 ટકા લેખે વ્યાજ સહિત કુલ રૂ. 15.01 લાખની વસૂલાતનો એક તરફી ચુકાદો આપ્યો છે.
પશુ હેરાફેરીનો પ્રયાસ ગયો નિષ્ફળ:પાલનપુરમાં ગેરકાયદે ટ્રકમાં ભરી લઈજવાતી 14 ભેંસો સાથે ચાલક ઝડપાયો
પાલનપુરમાં પશુ હેરાફેરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. પાસ-પરમિટ વિના તેમજ પાણી અને ઘાસચારા જેવી સુવિધાઓ વગર ટ્રકમાં ભરીને લઈ જવાતી 14 ભેંસોને એનિમલ રેસ્ક્યૂ ટીમે બચાવી હતી. ટ્રક રોકી તપાસ કરતા પશુઓની અમાનવીય સ્થિતિ સામે આવતા ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાલનપુરના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અને એનિમલ સેવિયર ફાઉન્ડેશન સાથે જોડાયેલા દિપકકુમાર સતીશકુમાર સિન્ધીને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોતાના મિત્રો સાથે એરોમા સર્કલ નજીક વોચ ગોઠવી બેઠા હતા. ત્યારે સિદ્ધપુર તરફથી આવતી શંકાસ્પદ આઇશર ટ્રક નંબર જીજે-18-બીટી-7151 હનુમાન ટેકરી તરફ જતા જોવા મળી હતી. જેથી ટ્રકને રોકીને તપાસ કરતાં તેમાંથી 14 જીવતી ભેંસો ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવી હતી. ભેંસોને એવી રીતે ભરવામાં આવી હતી કે તેમની ચામડી એકબીજાને ઘસાતી હતી. ટ્રકમાં પાણી અથવા ઘાસચારાની કોઇ વ્યવસ્થા ન હતી. તેમજ ચાલક પાસે કોઇ પાસ-પરમીટ પણ ન હતો. ચાલક સાબીરખાન ઉસમાનખાન બલોચ (રહે.ઇશાકપુરા સિંધિવાસ, તા. સતલાસણા, જિ.મહેસાણા)ને ઝડપી 112 પર કોલ કરતાં પોલીસ આવી પહોંચી હતી.
ચડ્ડી બનિયનધારી ગેંગ દ્વારા તસ્કરી:મોડાસામાં ચડ્ડી બનિયનધારી ગેંગે 2 બંધ ઘરમાંથી 4.18 લાખ મત્તા ચોરી
મોડાસામાં શનિવારની રાત્રે 8 જેટલા તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ સહિત કુલ રૂપિયા 4,18,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ તસ્કરોએ મકાનના પાછળના ભાગે આવેલી ખુલ્લી જમીનમાં વિદેશી દારૂ પીધો હતો અને ત્યાં જ ખાલી બોટલો મૂકીને નાસી છૂટ્યા હતા. પંડ્યા અને ખાંટ પરિવારના મકાનોમાં તસ્કરોનો હાથફેરો આ ગેંગે સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને વિજયભાઈ ખાંટના બંધ મકાનોમાં ચોરી કરી હતી. કૃષ્ણકાંતભાઈ પંડ્યાના મકાનમાંથી તસ્કરોએ તિજોરી તોડીને સોના-ચાંદીના ઘરેણાં અને 30,000 રોકડ સહિત કુલ 2,63,000ની મત્તા ચોરી હતી. આ પરિવાર બાળકો સાથે અમદાવાદ સાસરીમાં ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. વિજયભાઈ ખાંટ, જેઓ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ ધંધાર્થે બહાર ગયા હતા ત્યારે તેમના મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને ₹55,000 રોકડ મળી કુલ ₹1,55,000ની ચોરી થઈ હતી. હીનાબેન પંડ્યાની હૈયા વરાળ અને પોલીસ ફરિયાદ ચોરીનો ભોગ બનેલા હીનાબેન પંડ્યાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તસ્કરોએ સોનાની ચીપથી મઢેલી બંગડીઓ તોડીને તેમાંથી સોનું કાઢી લીધું હતું.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:રાધનપુર તાલુકાના અરજણસરમાં જુગાર રમતાં 11 શખ્સો ઝડપાયા
રાધનપુર તાલુકાના અરજણસર ગામે રાધનપુર પોલીસે બાતમી આધારે રેડ કરી જુગાર રમતાં 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે.સ્થળ પરથી રોકડ રકમ સાથે જુગાર સામગ્રી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાધનપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા.તે વખતે બાતમીના આધારે અરજણસર ગામના રબારીવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર કેટલાક શખ્સો જુગાર રમતા પોલીસે રોકડ રૂ 14,550 કબ્જે કરી હતી. દરોડા દરમિયાન કુલ 11 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અરજણસર નાં ધનરાજભાઈ પટેલ, જોધાભાઈ ઠાકોર, નરેશકુમાર પુરોહિત, તેજાભાઈ રબારી, હમીરભાઈ ઠાકોર, બળદેવપુરી ગોસ્વામી, રાજેશભાઈ પટેલ, પ્રતાપભાઈ ઠાકોર, તરસંગભાઈ ઠાકોર, અમથાભાઈ સુથાર અને રમેશભાઈ રબારી
વરણી:રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પ્રાંત અધ્યક્ષ તરીકે ડૉ. રોહિત દેસાઈની પુનઃ નિમણૂક
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે ડૉ. રોહિતકુમાર એન. દેસાઈની પ્રાંત અધ્યક્ષ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં મહાસંઘના સભ્યો અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.નવનિયુક્ત અધ્યક્ષે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સંગઠન દ્વારા આક્રમક લડત અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેજ કરવામાં આવશે. આ નિમણૂકને શૈક્ષણિક આલમે આવકારી છે.
પાટણ ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાટણ ખાતે ભવ્ય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. યુવા પ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાતની 13 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલમાં હારીજની ટીમ વિજેતા અને સિદ્ધહેમ પાટણની ટીમ ઉપવિજેતા બની હતી. ટુર્નામેન્ટમાં ભાનુજભાઈ ચોકસી મેન ઓફ ધ સિરીઝ અને સુનિલભાઈ રતાણી બેસ્ટ બોલર જાહેર થયા હતા. વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઈ હતી.
પાટણ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને મુંઝવણ અનુભવતા હોય છે. આવા સમયે પાટણની શેઠ એમ. એન. હાઇસ્કૂલે એક અનોખી પહેલ ‘ગુરુ પધાર્યા મારે આંગણે ૨.૦’ શરૂ કરી છે. પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે. આ અભિયાન માત્ર એક સંપર્ક કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ જગતમાં ગુરુ-શિષ્યના અતૂટ સંબંધોને મજબુત કરવા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. શાળાના આ અભિયાનમાં કુલ 15 શિક્ષકોની 6 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ શિક્ષકો દરરોજ શાળા સમય બાદ સાંજે અને રાત્રે 8 થી 11 વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમની સાથે સંવાદ કરે છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ નબળી છે અથવા જેમના માતા-પિતા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, તેવા પરિવારોમાં શિક્ષણનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર વિષયલક્ષી માર્ગદર્શન જ નથી આપતા,પરંતુ પરીક્ષાના ભયને દૂર કરી તેમનું મનોબળ પણ મજબૂત બનાવી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી ચાલતા આ અભિયાનમાં અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મુંઝવણોમાંથી મુક્તિ અપાવી છે. શાળાના આચાર્ય ડૉ. ધનરાજ ઠક્કરે જણાવ્યું હતું કે અમારી શાળામાં આવતા 60 થી 70 ટકા વિદ્યાર્થીઓ શ્રમિક પરિવારોના છે, જ્યાં ઘરે અભ્યાસનું યોગ્ય વાતાવરણ હોતું નથી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવાનો અને વાલીઓને શિક્ષણના મહત્વથી માહિતગાર કરવાનો છે.
દાનથી આધુનિક શૈક્ષણિક સુવિધાઓ વધશે:ઉમરગામની એમ.એમ. સ્કૂલને 15 લાખનું માતબર દાન મળ્યું
ભાસ્કર ન્યૂઝ| ઉમરગામ ઉમરગામની 132 વર્ષ જૂની ઐતિહાસિક એમ.એમ. હાઈસ્કૂલ શિક્ષણ અને સંસ્કારનું કેન્દ્ર રહી છે. શાળાના આધુનિકીકરણ માટે મિડ માર્ક પ્રાઈવેટ લિમિટેડના EVP દિનેશભાઈ કરંડીકર દ્વારા ₹15 લાખનું ઉદાર દાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2018થી અત્યાર સુધીમાં સંસ્થાને કુલ ₹58,05,000નું માતબર દાન પ્રાપ્ત થયું છે, જે સમાજના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ સહયોગ બદલ ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ બારી, મંત્રી ઉલ્હાસભાઈ ટંડેલ અને આચાર્ય અલ્પેશકુમાર પટેલે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ભંડોળનો ઉપયોગ નવા વર્ગખંડો અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવા માટે કરવામાં આવશે. આ પ્રસંગે ઉમરગામની 1200થી વધુ ઔદ્યોગિક કંપનીઓને પણ CSR હેઠળ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી પોતાની કર્મભૂમિનું ઋણ અદા કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
ઉત્તમ સેવાકાર્ય:વલસાડના અધ્યાપકે સેવાનો ત્રિવેણી સંગમ રચી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું
વલસાડના વતની અને મોડાસાની સાયન્સ કોલેજના એવોર્ડી અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલાએ પોતાની જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરી સેવાનો ત્રિવેણી સંગમ રચ્યો છે. તેમણે પારનેરાની આંગણવાડીઓ અને પોતાની માતૃસંસ્થા ડી.એમ.ડી.જી. મ્યુનિસિપલ હાઈસ્કૂલના બાળકોને સ્વદેશી સ્વેટર, બિસ્કિટ અને સુરક્ષા માટે રક્ષા પોટલીનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ બોર્ડ પર શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પ્રશ્નોત્તરી દ્વારા બાળકોમાં ઉત્સાહ જગાડ્યો હતો. ડૉ. ગોંગીવાલાએ ભાવુકતા સાથે જણાવ્યું કે, તેમનું આજનું સ્થાન વતનના પ્રાથમિક શિક્ષણને આભારી છે. શાળાના આચાર્ય હેમલતાબેન પટેલ અને શિક્ષકોએ અધ્યાપકની આ પ્રેરણાદાયી ઉમદા કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બાળકોના ચહેરા પરનું સ્મિત દાતા માટે સાચું વળતર સાબિત થયું હતું.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કકવાડીનો માછીમાર એક વર્ષથી ઇરાન ગયા બાદ ત્રણ દિવસથી પરિવારથી સંપર્ક તૂટયો
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. રોજગાર માટે ખાડી દેશોમાં ગયેલા વલસાડ જિલ્લાના અનેક લોકો હાલ તણાવગ્રસ્ત વિસ્તારોમાં હોવાના કારણે તેમના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે. વલસાડ કકવાડીનો માછીમાર એક વર્ષથી ઇરાન ગયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધની સ્થિતિ વચ્ચે સંપર્ક વિહોણા થતાં પરિવાર ચિંતામાં આવી ગયો છે. જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાંથી ઘણા યુવાનો અને મજૂરો છેલ્લા કેટલાક સમયથી ઈરાન સહિત ખાડી દેશોમાં નોકરી અને માછીમારી કામે ગયા છે. હાલમાં ઈરાનના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની હોવાના અહેવાલો વચ્ચે અનેક પરિવારો પોતાના સ્વજનો સાથે સંપર્ક સાધવામાં નિષ્ફળ રહ્યા છે. વલસાડના કકવાડી ગામના ભીખુભાઈ ઇરાનમાં ફસાયા છે. જેઓનો સંપર્ક તૂટતા પરિવારજનો ચિતામાં આવ્યાં છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ખાડી વિસ્તારમાં તણાવ વધતા પરિવારો સતત સમાચાર અને સરકારી જાહેરાતો પર નજર રાખી રહ્યા છે. જિલ્લાના અનેક પરિવારોની રોજીરોટી ખાડી દેશોમાં કામ કરતા સભ્યો પર નિર્ભર હોવાથી હાલની પરિસ્થિતિએ તેમને વધુ વ્યાકુળ બનાવ્યા છે. જિલ્લાના રહેવાસીઓએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સમક્ષ અપીલ કરી છે કે ખાડી દેશોમાં રહેલા તમામ ભારતીયોની સુરક્ષા અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે અને જરૂર જણાય ત્યાંથી તેમને સુરક્ષિત રીતે વતન પરત લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે. લોકોની સરકાર સમક્ષ મદદની આશા હવે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈ પરિસ્થિતિઓ વણસી રહી છે.જેથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.બે દિવસ પહેલા આ પરિવાર ની ભીખુભાઇ સાથે થઈ હતી ,પરંતુ બે દિવસથી તેમનો સંપર્ક નહીં થઈ રહ્યો હોવાથી પરિવા ચિંતામાં છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના દરિયા કિનારાના અનેક લોકો રોજીરોટી માટે ખાડીના દેશોમાં નોકરીએ ગયેલા છે .પરંતુ ખાડીના મોટાભાગના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે.આથી અહીં તેમના પરિવારજનો અત્યારે ચિંતિત છે.યુદ્ધ ગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા છે તેમના પરિવારજનો તેમના સ્વજનો વહેલી તકે સહી સલામત ઘરે પરત ફરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
વાહનનું સંતુલન બગડ્યું:ડાભેલમાં પતરાના ભારથી ટેમ્પોના આગળના બંને ટાયર હવામાં અદ્ધર
નવસારીના વેસ્મા-ઉંભરાટ સ્ટેટ હાઇવે નજીક ડાભેલ ગામ પાસે દિવાને ખાસ સોસાયટી નજીક કાચા માર્ગ પર ટેમ્પોના આગળના બન્ને ટાયર અધ્ધર થઈ જતા થોડા સમય માટે ચકચાર મચી હતી. ઘટનાને પગલે ડ્રાઈવર ગભરાઈ ગયો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. જલાલપોરના ડાભેલ ગામેથી ટેમ્પો (નં. GJ-19-Y-2060)નો અજાણ્યો ચાલક વેસ્મા તરફથી આવી ડાભેલના દિવાને ખાસ વસાહત પાસેના કાચા રસ્તા પર ટેમ્પો પાર્ક કરી આરામ માટે ઊભો રહ્યો હતો. બાદમાં તે મરોલી ચાર રસ્તા તરફ જવા ફરી રવાના થયો હતો પરંતુ થોડેક અંતરે જ ટેમ્પોના પાછળના ભાગનો ફાળકો અચાનક ખુલી જતા ભરેલા પતરા પાછળની તરફ ખસી આવ્યા હતા. જેને પગલે વાહનનું સંતુલન બગડ્યું અને ટેમ્પોના આગળના બન્ને ટાયર અદ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ ક્રેઇન બોલાવી ટેમ્પાને મૂળ સ્થિતિમાં લાવવા કામગીરી હાથ ધરાઇ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આ બાબતે વેસ્મા પોલીસમાં કોઇપણ જાતની ફરિયાદ નોંધાઇ ન હતી. આ ઘટનાને પગલે ડ્રાઇવર પણ થોડા સમય માટે ગભરાઇ ગયો હતો અને મદદ માટે સ્થાનિકોને જણાવતા ક્રેઇન મંગાવી આઇસર ટેમ્પાને સીધો કરાવ્યો હતો. ત્યારબાદ ડ્રાઇવર ત્યાંથી તેના સ્થાને જવા નીકળી ગયો હતો.
ગંભીર બાઇક અકસ્માત સર્જાયો:મીંઢાબારી ગામે બે બાઇક અકસ્માતમાં ધો.12ના છાત્રનું મોત
વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે રહેતા પાંચ યુવાનો બે બાઇક પર ખાટાઆંબા ગામેથી ઘરે પરત થઇ રહ્યાં હતા ત્યારે મીંઢાબારી ગામે બન્ને બાઇક અથડાતા પાંચે યુવાનને ઇજા થઇ હતી. જેમાં એક 18 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે રહેતો અભય સુનિલભાઇ ભોયા (ઉ.વ. 18) હાલ ધોરણ-12ની પરીક્ષા આપી રહ્યો હતો. જે તેઓ યુનિકોન બાઇક (નં. જીજે-21-ડીસી-3499) લઇ ફળિયામાં રહેતો અનિશ સંજયભાઇ ગાવિત અને જયેન્દ્ર ગણપતભાઇ ગાયકવાડ સાથે જ્યારે બીજા ફળિયામાં રહેતા ધનવેશ અનિલભાઇ ભોયા ડ્યુક બાઇક (નં. જીજે-05-એસડી-3446) પર કુણાલ અનિલભાઇ ભોયા સાથે ખાટાઆંબા ગામે લગ્નપ્રસંગે ગયા હતા. તેઓ મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે અનિશ ગાંવિત યુનિકોન બાઇક ચલાવી રહ્યો હતો જ્યારે ડ્યુક બાઇક ધનવેશ ભોયા ચલાવતો હતો. મીંઢાબારી ગામ નજીક તેણે અનિશની બાઇક સાથે અથડાવી દેતા તમામ પાંચેય માર્ગ પર પડ્યા હતા અને તમામને ઇજા થઇ હતી. તેમને 108 એમ્બ્યુલન્સમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં અભય ભોયોને વધુ સારવાર માટે રાણી ફળિયામાં ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં તેનું મોત નિપજ્યું હતું.
વાંસદા તાલુકા આદિવાસી સેનાએ રાજ્યપાલને સંબોધીને પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ -5 અને પૈસા એકટની જોગવાઈ છે અને ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાકટર કે અન્ય એજન્સીઓએ બંધારણના નીતિનિયમોની વિરુદ્ધ જઈને દાદાગીરીથી કામ કરવાની કોશિશ કરી રહ્યાં છે. વાંસદા આદિવાસી સેનાએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે ભારત દેશના બંધારણમાં આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ -5 અને પૈસા એકટની જોગવાઈ કરી છે અને તેના નિયમો પ્રમાણે આદિવાસી વિસ્તારોમાં શાંતિ અને સુશાસનની જવાબદારી જે તે રાજ્યના રાજ્યપાલની હોય છે અને પૈસા એકટ અનુસાર આદિવાસી વિસ્તારોની ગ્રામસભાને તમામ સત્તા આપવામાં આવી છે . વાંસદા તાલુકાના રૂપવેલ ગામે ગઇકાલે અને સુખાબારી તથા ચીખલીના ફડવેલ ગામમાં થોડા દિવસ અગાઉ જેતે ગામોની ગ્રામસભા કે સરપંચને જાણ કર્યા વગર વિવિધ એજન્સી અને કંપનીઓ કે જવાબદાર અધિકારીઓ બિનજવાબદાર રીતે બંધારણના નીતિનિયમોની વિરુદ્ધ જઈને દાદાગીરીથી ઉપરવટ જઈને કામ કરવાની કોશિશ કરી રહ્યાં હતા. જ બંધારણની-5 અનુસૂચિ અને પૈસા એકટના નિયમોનો ભંગ કરી રહ્યાં હોવાથી બંધારણમાં આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ-5માં દર્શાવેલ શાંતિ અને સુશાસન જાળવવાની જવાબદારી રાજ્યપાલની હોય છે જેથી આ વિસ્તારોમાં શાંતિ અને સુશાસન ની જાળવવાની કરવા માટે આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડો.પંકજ પટેલ, વાંસદા તાલુકા મંત્રી કલ્પનાબેન પટેલ, કારોબારી સભ્ય ગણેશભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.
મહુવા-બોરીયા રોડ પર રવિવારે રાત્રે એક એવી દુર્ઘટના ઘટી જેણે જોનારાઓના કાળજા ધ્રુજાવી દીધા છે. મહુવા ગામની સીમમાં બારોડીયા ફળિયા પાસેના જોખમી વળાંકમાં એક અર્ટિગા કાર રોડની સાઈડમાં વીજ થાંભલાને સપોર્ટ આપવા બાંધેલા માંચડા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે માંચડાનો લોખંડનો પાઈપ કારના વિન્ડશિલ્ડને તોડીને અંદર બેઠેલા યુવાનના માથામાં આરપાર નીકળી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યારાના ખોડતળાવનો અંકિત ઉર્ફે ગુલો ચૌધરી પોતાની અર્ટિગા કાર (GJ-26-AB-2820)માં મિત્ર બંકિમ ચૌધરી (રહે. કણજા) સાથે બોરીયાથી મહુવા તરફ જઈ રહ્યો હતો. રાત્રે 8:30 વાગ્યાના અરસામાં વળાંક પર કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ લોખંડના પાઈપ અને વાંસના માંચડામાં ઘૂસી ગઈ હતી. રોડની લગોલગ જ જીવલેણ માંચડો કોની મંજૂરીથી નંખાયો?આ અકસ્માતમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે રોડની લગોલગ લોખંડના પાઈપનો આવો જોખમી માંચડો કઈ રીતે ઉભો કરી શકાય? વીજપોલને ટેકો આપવા માટે કે અન્ય કામ માટે રોડની ધાર પર લોખંડના પાઈપ બાંધવા માટે પરવાનગી લેવામાં આવી હતી? નિયમ મુજબ રોડની ચોક્કસ ત્રિજ્યામાં કોઈ પણ તીક્ષ્ણ કે જોખમી અવરોધ હોવો જોઈએ નહીં. ત્યારે આ મોતનો માંચડો કોણે ઉભો કર્યો અને કોણે પરવાની આપી એની તપાસ જરૂરી છે. રોડની લગોલગ જ જીવલેણ માંચડો કોની મંજૂરીથી નંખાયો?
વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ:તાલીમાર્થીઓએ રાસાયણિક પ્રયોગોથી સમાજ જાગૃતિનો સંદેશ આપ્યો
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત સરદાર પટેલ બી.એડ. કોલેજમાં વિજ્ઞાન દિવસનું વૈજ્ઞાનિક ઢબે ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં પ્રાર્થના, ગીત, પ્રશ્નાવલી, વક્તવ્ય, નાટક, વિજ્ઞાન ગીત, વિજ્ઞાનના અવનવા પ્રયોગો, વૈજ્ઞાનિક રમતો વગેરે કૃતિઓ રજૂ કરાઇ હતી. તાલીમાર્થી દ્વારા વિવિધ રસાયણોના સંયોજનથી અગ્નિ પ્રજ્વલિત કરતા પ્રયોગો ખૂબ જ સાહસિક રીતે પ્રદર્શિત કરાયા હતા. આજના આધુનિક યુગમાં પણ સમાજની અંદર કેટલાક લોકોમાં અંધશ્રદ્ધા વ્યાપે છે. આ અંધશ્રદ્ધા દૂર કરવા માટે તાલીમાર્થીઓ દ્વારા વિવિધ રસાયણોના સંયોજનથી બનતા કેટલાક દ્રાવક પદાર્થોની સમજ નાટક દ્વારા રજૂ કરાઇ હતી. જેથી સમાજની અંદર વ્યાપેલ અંધશ્રદ્ધાઓને દૂર કરી શકાય અને સમાજમાં જાગૃતિ લાવવાનો એક નાનકડો પ્રયાસ હાથ ધરાયો હતો. જાદુ ટોટકા જેવું કંઈ હોતું જ નથી માત્ર વિજ્ઞાન એ જ વાસ્તવિક છે તેવું તાલીમાર્થીઓએ વિવિધ પ્રકારના પ્રયોગો અને નાટકો દ્વારા સાબિત કરવાની જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. સંજયભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ગૌરવપ્રદ વાત:વુમન્સ અંડર 23 વનડે ટ્રોફી, ઈલાઈટ ની મેચમાં નવસારીની મૈત્રીની BCA ની ટીમમાં પસંદગી
ભારતના વિવિધ સ્થળોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આયોજિત વુમન્સ અન્ડર 23 વનડે ટ્રોફી, ઈલાઈટ 2026ની મેચો શરૂ થઈ રહી છે. જેમાં એસ.એસ. અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીની ખેલાડી મૈત્રી મણિયારની બરોડા ક્રિકેટ એસોસિએશનની ટીમમાં પસંદગી થવા પામી છે. બરોડા ક્રિકેટ એસોસિએશન ટીમ જયપુર ખાતે બિહાર, કર્ણાટક, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર તથા મધ્યપ્રદેશ સામે મેચો રમશે. મૈત્રીની પસંદગી નવસારી જિલ્લા તથા અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમી માટે ગૌરવપ્રદ ઘટના છે. એ માટે એકેડમીના હેડ કોચ કાંતિ પટેલ, હિતેશ પટેલ, ચેતન પટેલ, દિવ્યેશ ગામીત, ડો. સંજય પટેલ, એકેડેમી પરિવાર તથા એકેડેમીના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ તરફથી મૈત્રીને અભિનંદન સહ આગામી મેચોમાં સારો દેખાવ કરે એ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આજ ટુર્નામેન્ટ માટે નવસારી જિલ્લાની અન્ય બે ખેલાડી હેત્વી પટેલ અને જીનલ પટેલ પણ પસંદગી થવા પામ્યા છે. નવસારી ડિસ્ટ્રીક વુમન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિ પટેલ, હિતેશ પટેલ અને હોદ્દેદારોએ ખેલાડીઓને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી છે. નવસારી જિલ્લામાંથી અગાઉ પણ કેટલીક મહિલા ખેલાડીઓની બીસીએમાંથી પસંદગી પામીને તેમણે ઉચ્ચ દેખાવ કરી નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
સન્માન કરાયું:‘નારી તું ના હારી’ તૃતીય કાર્યક્રમમાં શિક્ષિકા ડો. ફાલ્ગુની રાઠોડનું સન્માન
સ્ત્રી સશક્તિકરણ, સાહિત્યિક સર્જન અને સામાજિક ચેતનાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીપંખ ઈ-મેગેઝીન અને શબ્દ ધારા ટીમના સંયુક્ત આયોજન હેઠળ ‘નારી તું ના હારી’ તૃતીય મહિલા સન્માન સમારોહ–2026નું આયોજન મહેસાણામાં કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજ, સાહિત્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરી તેમની કામગીરીને પ્રેરણારૂપ બનાવવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિભાશાળી મહિલાઓને પ્રેરણા સન્માન, નારી સશક્તિકરણ વિષયક શ્રેષ્ઠ નિબંધ સન્માન તેમજ પુસ્તક વિમોચનથી સન્માન કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાના સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા પીએમશ્રી- ગુજરાતના ભાષા શિક્ષિકાબેન ડો. ફાલ્ગુની રાકેશભાઈ રાઠોડે નારી સશક્તિકરણ વિષયક શ્રેષ્ઠ નિબંધ સ્પર્ધામાં તૃતીય ક્રમે વિજેતા બની નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સ્ત્રી પંખ ટીમના પીનાબેન પટેલ, દિક્ષિતાબેન શાહ, હેતલબેન મહેતા, ગાયત્રીબેન જાની દ્વારા તેમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:કબીલપોર બજારમાં બુલેટ ના ચાલકે એક્ટિવાને અડફેટે લેતા બાળાને ઇજા
કબીલપોર બજાર વિસ્તારમાં બુલેટ ચાલકે દંપતીની એક્ટિવાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા પર સવાર બાળાને પગના ભાગે ઇજા પહોંચતા બુલેટ ચાલક વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કબીલપોરની આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા નેહલબેન જિતેન્દ્રકુમાર રાઠોડ તેમના પતિ અને દીકરી સાથે એક્ટિવા (નં. GJ-21 BH-6502) પર પસાર થઈ રહ્યા હતા. ગત તા. 1 માર્ચના રોજના રોજ સવારે 11.30 વાગ્યાના અરસામાં કબીલપોર બજારમાં જાહેર રોડ પર બુલેટ (નં. GJ-05 MN-9339)ના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી એક્ટિવાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં નેહલબેનની દીકરી યશ્રીને જમણા પગમાં ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી ભાગી છૂટનાર બુલેટ ચાલક મંગેશ સંતોષભાઇ વાઘ (રહે. વિજલપોર) વિરુદ્ધ પોલીસે બેદરકારીથી વાહન ચલાવવા અને એમ.વી એક્ટ મુજબ ગુનો નોંધી ગ્રીડ ચોકીના અ.હે.કો. રાજેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ તપાસ કરી રહ્યાં છે.
ભાસ્કર એક્સક્લુસિવ:નવસારીમાં પ્રથમવાર 5 કરોડના ખર્ચે બનાવાશે ચેકડેમ ટાઇડલર રેગ્યુલેટર
નવસારી જિલ્લામાં પ્રથમવાર જલાલપોર તાલુકામાં ત્રણ જગ્યાએ ચેકડેમ ટાઇડલર રેગ્યુલેટર 5 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યાં છે. દરિયાઈ ખરાશ વધતી અટકાવવા આ નિર્ણય લેવાયો છે. નવસારી જિલ્લાને દરિયાકાંઠો સ્પર્શે છે જેને લઇને દરિયાઈ ભરતી, પાણી સતત આગળ વધતા અનેક વિસ્તારોમાં દરિયાઇ ખારાશ વધી છે. આ ખારાશ નદીના પાણી ઉપરાંત નાળા, કોતર વાટે પણ આગળ વધી છે. જે અટકાવવા જલાલપોર તાલુકામાં ત્રણ જગ્યાએ મોટા કોતર, નાળા વગેરે ઉપર ચેકડેમ ટાઇડલર રેગ્યુલેટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ચેકડેમ સામાન્ય ચેકડેમ કરતા મોટા હોવાનું જાણવા મળે છે, જે ત્રણ જગ્યાએ બનાવવામાં આવી રહ્યા છે તેમાં માછીવાડ (બોરસી), બોદાલી અને દેલવાડા ગામનો સમાવેશ થાય છે. આ ત્રણેય મળી કુલ 5 કરોડના ખર્ચની મંજૂરી અપાઈ, જેનું ખાતમુહુર્ત પણ થશે ગયું છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં અગાઉ નદીઓ ઉપર ટાઇડલર ડેમ બન્યા યા બની રહ્યાં છે પણ આ પ્રકારના પ્રથમ બની રહ્યાનું જાણવા મળે છે.
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કાલિયાવાડી પુલ પાસેનો મુખ્ય રસ્તો છેલ્લા 7 દિવસથી અત્યંત ખરાબ હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ગાબડાં પડવાને કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, રસ્તા પર પાણી વહેતું હોવાને કારણે ધોવાણ વધ્યું છે અને માર્ગ વધુ બિસ્માર બન્યો છે. કાલિયાવાડી માર્ગ શહેરના વ્યસ્ત વિસ્તારને જોડતો હોવાથી દિવસભર વાહનોની અવરજવર રહે છે. રસ્તા વચ્ચે ખાડા અને વહેતા પાણીને કારણે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થવાની ભીતિ સેવાઈ રહી છે. પીવાના પાણીની લાઈનમાં લીકેજથી રસ્તો વધુ ખરાબ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 1 વર્ષ પહેલા પણ આ રસ્તો તૂટી ગયો હતો કાલિયાવાડી પુલ નજીક એક વર્ષ અગાઉ પણ નવો રસ્તો બેસી જતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી ત્યારબાદ મનપા દ્વારા રસ્તા પણ રિપેર કરવામાં આવ્યો હતો. પુનઃ રસ્તા પરથી પાણી વહેતા મહાપાલિકા જે તે કોન્ટ્રાકટર પાસે પુનઃ રસ્તો બનાવે તેવો આદેશ આપે તેવી સંભાવના સ્થાનિકોએ વ્યક્ત કરી છે.
અતિ દુર્લભ વૃક્ષ જોવા મળ્યું:જલાલપોરમાં જોવા મળ્યું ગોરખ આમલી વૃક્ષ, 250થી વધુ ફળ એકત્રિત કરાયા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એક ગામમાં આફ્રિકન મૂળનું અને અત્યંત દુર્લભ ગણાતું ગોરખ આમલીનું વૃક્ષ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વર્ષો જૂના આ વિશાળકાય વૃક્ષ પર અત્યારે ફળોની મોસમ પૂરબહારમાં ખીલેલી જોવા મળી રહી છે. આ વૃક્ષ મૂળ આફ્રિકાનું વતની છે. સદીઓ પહેલાં જ્યારે અરબી વેપારીઓ દરિયાઈ માર્ગે ભારત સાથે વ્યાપાર કરતા હતા, ત્યારે તેઓ આ વૃક્ષના બીજ સાથે લાવ્યા હતા. આજે પણ નવસારી, ભરૂચ અને ભાવનગર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વૃક્ષો જોવા મળે છે, જે ભારતના પ્રાચીન વિદેશી વ્યાપાર સંબંધોની યાદ અપાવે છે. આ વૃક્ષની શરીરરચના અન્ય વૃક્ષો કરતા સાવ અલગ છે. વર્ષના મોટાભાગના સમયમાં આ વૃક્ષ પર પાંદડા હોતા નથી, જેના કારણે તે જોનારને જમીનમાં ઊંધું ઉગેલું હોય તેવો ભાસ કરાવે છે. આ વૃક્ષનું થડ અંદરથી પોલું હોય છે, જેમાં તે હજારો લિટર પાણીનો સંગ્રહ કરી શકે છે. ભૂતકાળમાં દુષ્કાળ સમયે આ પાણી પશુ-પક્ષીઓ અને માનવીઓ માટે જીવનરક્ષક સાબિત થતું હતું. ગોરખ આમલી 2000 થી 3000 વર્ષ સુધી જીવી શકે છે, જે તેને પૃથ્વી પરના સૌથી લાંબુ આયુષ્ય ધરાવતા સજીવોમાં સ્થાન અપાવે છે. આ વિશાળ વૃક્ષ માત્ર ઓક્સિજન જ નથી આપતું, પરંતુ તેના પોલા થડ અને ઘટાદાર ડાળીઓમાં પક્ષીઓ, મધમાખીઓ અને નાના પ્રાણીઓ પોતાના સુરક્ષિત ઘર બનાવે છે. પર્યાવરણના સંતુલન માટે આ વૃક્ષ એક આખું ઇકોસિસ્ટમ પૂરું પાડે છે. ઐતિહાસિક વૃક્ષને બચાવવાના પ્રયાસો નવસારીના દરિયાઇ વિસ્તારના ગામોમાં જોવા મળતું વૃક્ષ અતિ દુર્લભ છે. તેની સંખ્યા પણ ઓછી થઇ જવા પામી છે. આ પ્રજાતિને બચાવવા માટે તેના ફળોને એકત્ર કરીને ફોરેસ્ટ વિભાગને 100થી વધુ ફળો આપ્યા છે. જેથી તેઓ ફળમાંથી રોપા બનાવી શકે અને તેને વ્યાપક પ્રમાણમાં રોપી શકાય. આપણે આવા અમૂલ્ય વારસાને સાચવીશું તો જ આવનારી પેઢી પ્રકૃતિના વિશાળ વારસાને જોઇ શકશે. > અમિતભાઇ પટેલ, પર્યાવરણ પ્રેમી, નવસારી
ચાર વર્ષ પહેલા રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારબાદ રશિયા સાથેના હીરા જ્વેલર્સ ઉદ્યોગોને અસર ચાલુ જ રહી હજુ એની અસર પૂરી થાય તે પહેલાં ઈઝરાયેલ અમેરિકા અને ઈરાન યુદ્ધ શરૂ થતા નવસારી જિલ્લા સહિત દેશને પણ હિરા જ્વેલર્સ ઉદ્યોગને કેવી અસર થશે તે બાબતે નવસારી જિલ્લા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના હાલમાં મંત્રી સંજય શાહ સાથે વાતચીત કરી હતી. સંજય શાહે હાલની પરિસ્થિતિ અંગે જણાવ્યું કે ભારત દેશમાં હીરા ઉપયોગ સાથે સંકળાયેલા નાના-મોટા શહેરોમાં ખાસ કરીને નવસારી, સુરત અને ભાવનગર, જયપુર, હૈદરાબાદ, મુંબઇ અને દિલ્હી જેવા ઘણાં શહેરો સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યા છે. ચાર વર્ષ અગાઉ રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું તે વખતે હીરાનું એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ બંધ થઈ ગયું હતું. જે પછી અમેરિકાએ ભારત દેશ ઉપર ટેરિફ નાંખતા પુનઃ હીરા ઉદ્યોગને નજર લાગી હતી. છેલ્લા દોઢ વર્ષથી સોના-ચાંદીના ભાવ આસમાને જતા હીરા જ્વેલર્સ ઉદ્યોગો પર માટી અસર થઇ. આ બધી પરિસ્થિતિમાંથી માંડ માંડ હીરા ઉપયોગને નવી આશા ઊભી થઈ અને હવે સમય સારા આવશે કેમ કે નેચરલ ડાયમંડ ફરી એનું તે જ બતાવશે અને નેચરલ ડાયમંડ ઉપર ટેરીફ પણ હટી ગયો. તાજેતરમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે.જેને લઇ હીરા જ્વેલર્સ ઉદ્યોગને માઠી અસર થઈ શકે છે, કેમકે ઇઝરાયેલ સાથે ભારત દેશ હીરા ઉદ્યોગ સાથે 25થી 30 ટકા સુધી વેપાર ચાલી રહ્યો છે. હાલમાં હોંગકોંગમાં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ ટ્રેડ ફેર ચાલી રહ્યો છે.જેમાં ઈઝરાયેલ દેશ તથા બીજા અનેક દેશોના ખરીદદાર આવતા હોય છે. જેમાં પણ યુદ્ધના કારણે માઠી અસર પડશે. ભારતના પણ ઉદ્યોગપતિઓ હીરાના મોટા પ્રમાણમાં તેમના સ્ટોલ હોંગકોંગમાં ટ્રેડ ફેરમાં સ્ટોલ લગાવતા હોય છે. દુબઇ તથા ગલ્ફ ના દેશોમાં શહેરોમાં પણ હીરા ઉદ્યોગ ફેલાયેલો છે. દુબઇમાં થયેલા હુમલાની પણ હીરા ઉદ્યોગ પર અસર થશે જ. યુદ્ધ લાંબુ ચાલે તો ભારતમાં મંદીના એંધાણ વર્તાશે. - સંજય શાહ, હીરા વેપારી
ભાસ્કર એક્સક્લુસિવ:નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 3 હજાર હેક્ટરમાં ઉનાળુ ડાંગરનું વાવેતર
જિલ્લામાં હાલ સુધીમાં ઉનાળુ ડાંગરના 3 હજાર સહિત કુલ 6364 હેક્ટરમાં ઉનાળુ ઋતુનું વાવેતર થયું છે. સરેરાશ વાવેતર 9224 હેક્ટરનું છે. આમ તો નવસારી જિલ્લામાં પણ ચોમાસામાં વરસાદ આધારિત ખરીફ વાવેતર વધુ થાય છે પણ શિયાળો, ઉનાળાની મોસમમાં પણ વાવેતર થાય છે. ખાસ કરીને નહેરના પાણી આધારિત ઉનાળુ ડાંગરનું વાવેતર પણ થાય છે. ચાલુ સાલ નહેરનું પાણી મોડું મળતા વાવેતર પણ થોડું મોડું શરૂ થયું હતું.હાલ સુધીમાં નવસારી જિલ્લાના કુલ 6364 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં ઉનાળુ ડાંગરનું 3 હજાર હેક્ટરમાં છે. આ ઉપરાંત શાકભાજી, શેરડી, ઘાસચારો વગેરેનું પણ વાવેતર થયું છે. અહીં ઉલ્લેખનીય છે કે ઉનાળુ ઋતુનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર 9224 હેક્ટરમાં નોંધાયું છે.હજુ પણ કેટલીક જગ્યાએ ઉનાળુ ડાંગરનું વાવેતર ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ સાલ નહેરના પાણીની સમસ્યા અને ખેંચતાણ વધુ રહી, જેને લઈ દર વર્ષ જેટલું ઉનાળુ ડાંગરનું વાવેતર થાય કે ઓછું થાય તે આગામી અઠવાડિયાએ ખબર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લાના પૂર્વપટ્ટીના ગામોમાં મોડે મોડે રોપણી શરૂ થતા પાણીના અભાવે મુશ્કેલી વેઠવી પડી હતી. બાદમાં સિંચાઇ વિભાગની રજૂઆતના પગલે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. એક તબક્કે પાણીના અભાવે ડાંગરનો પાક યોગ્ય રીતે અને દાણા પોષણ યુક્ત બનશે કે કેમ તેવા સવાલો પણ ઉભા થયા હતા.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:આછોદ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જુગાર રમતાં 3 ઝબ્બે, 3 ફરાર
ભરૂચ એલસીબીની ટીમે આછોડ ગામના ક્રિકેટના મેદાનમાં દરોડો પાડી 3 જુગારીને ઝડપી પાડયાં હતાં જયારે 3 ફરાર થઇ ગયાં હતાં. ત્રણે ખેલીઓ પાસેથી કુલ 68,400 રૂા.નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમોદના આછોદ ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી ₹68,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે મોબાઈલ ટોર્ચના અજવાળે ચાલતા પત્તા-પાનાના જુગાર પર પોલીસે ત્રાટકીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. યાકુબ પટેલ,ઈમરાન પટેલ અને મોહસીન પટેલને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યાં હતાં. પોલીસની કાર્યવાહી દરમિયાન રસીદ અંગા, ઈકબાલ બીરબલ અને લાદેન મોજીયા ફરાર થઇ જતાં તેમને વોન્ટેડ જાહેર કરાયાં છે. આરોપીઓ પાસેથી 12,900 રોકડા સહિત કુલ ₹68,400/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ અને મુદ્દામાલ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે આમોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
ભક્તો આપે ધ્યાન:ભરૂચના ઝાડેશ્વરનું નીલકંઠશ્વર મંદિર ચંદ્ર ગ્રહણના કારણે મંગળવારે બંધ
આજે મંગળવારના રોજ ચંદ્ર ગ્રહણ હોવાથી ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સવારે 5.20 વાગ્યે મંગળા આરતી કર્યા બાદ સવારે 6:20થી મંદિર બંધ રહેશે. સાંજે 7:00 કલાકે રાબેતા મુજબ મંદિર ખુલશે અને દર્શનાર્થીઓ ભોળાનાથ શંભુના દર્શન કરી શકશે. મંગળવારના રોજચંદ્રગ્રહણ છે જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે. જ્યારે કેટલાક રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનો હોવાથી ગ્રહણ જોવા મળશે નહીં. જેના લીધે વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાળવા મામલે અલગ-અલગ મત પ્રવર્તે છે. ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેધકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવશે. ઝાડેશ્વર ગામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જે ભક્તો માટે મંગળવારે પૂનમ હોય અને તે દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી ગ્રહણના વેધ અને સુતકને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે ભક્તો માટે દર્શન અર્થે સંપૂર્ણ મંદિર બંધ રાખવામાં આવશે. મંગળવારના રોજ અવકાશમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે.
વોન્ટેડ આરોપી ઝડપાયો:ભરૂચ પોલીસ મથકનો વોન્ટેડ આરોપી ગોધરામાંથી પકડાયો
છેલ્લા આઠ મહીનાથી ભરૂચ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગોધરાના હમીરપુર ખાતેથી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે પકડી પાડયો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી મુનાવર ખાલિદ મામજી છેલ્લા આઠ મહીનાથી ફરાર હતો. જેને ઝડપવા પેરોલ ફર્લો સ્ક્વોડ પીએસઆઇ બી.એમ. રાઠોડએ સૂચનાઓ આપતા ASI નરેન્દ્રસિંહ જયરામસિંહે હ્યુમન સોર્સીસ મારફતે મુનાવર ખાલિદ મામજી ગોધરા શહેરના હમીરપુર રોડ સ્થિત ઇબાદતગાહ નજીક હાજર છે. બાતમીથી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી આરોપી મુનાવર ખાલિદ મામજીને ઝડપી આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લા ભાજપમાં ચાલી રહેલાં આંતરિક વિખવાદોની અસર છેક પ્રદેશકક્ષાના સંગઠન પર જોવા મળી રહી છે. તાજેતરમાં પ્રદેશ ભાજપ તરફથી યુવા મોરચા તથા હાલમાં દરેક જિલ્લામાં સંગઠન પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બંને યાદીમાં ભરૂચ શહેર કે જિલ્લાના એક પણ નેતા સ્થાન પામી શકયાં નથી. ભરૂચમાં જિલ્લા સંગઠનની જાહેરાત પણ મહિનાઓથી લટકી પડી છે. ભરૂચ જિલ્લા ભાજપની શાખનો પ્રદેશ સંગઠનમાં ઘટાડો થતો જોવા મળી રહયો છે. ભરૂચના એક પણ નેતાને મોવડી મંડળ કોઇ પણ હોદ્દાને લાયક હોય તેમ સમજી રહયું નથી તેવું ચિત્ર તાજેતરમાં થયેલી યાદીઓ પરથી લાગી રહયું છે . ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મોવડી મંડળે આરએસએસ અને ભાજપ સાથે 35 વર્ષ ઉપરાંતથી જોડાયેલાં અને વ્યવસાયે વકીલ એવા પ્રકાશ મોદીની વરણી કરી છે. તેમની નિયુકતિ બાદ ભાજપનું એક જૂથ નારાજ થઇ ગયું છે અને પ્રમુખની સતત અવગણના કરી રહયું છે. હાલમાં પ્રદેશ યુવા મોરચના અધ્યક્ષ હેમાંગ જોશીએ યુવા મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરી હતી પણ તેમાં ભરૂચના એક પણ યુવા નેતાને સ્થાન મળ્યું નથી. હાલમાં જિલ્લાના સંગઠન પ્રભારીની યાદીમાં પણ એક પણ નેતા સ્થાન મેળવી શકયો નથી. ભરૂચના સંગઠન પ્રભારી તરીકે વડોદરાના પરાક્રમસિંહ જાડેજાની વરણી કરાઇ છે. અંકલેશ્વર પાલિકાના કથિત લાંચકાંડ, પ્રકાશ મોદી સામેનો વિરોધ સહિતના અનેક કારણોસર પ્રદેશકક્ષાએ હવે ભરૂચ શહેર અને જિલ્લાની હાક ઓછી થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા ભાજપના નિરિક્ષકોએ સેન્સ લીધા હોવા છતા આજ દિન સુધી જિલ્લા સંગઠનની જાહેરાત કરાઇ નથી.
અમેરિકા અને ઇઝરાઇલે ઇરાન પર કરેલાં હુમલાની અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી શકે છે. ઇરાન સહિતના ખાડી દેશો વિશ્વની ખનીજતેલની જરૂરિયાત પૂર્ણ કરે છે ત્યારે આગામી દિવસોમાં ખનીજતેલના ભાવ વધવાની શકયતાઓ રહેલી છે. આ યુધ્ધ લાંબુ ચાલશે તો ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાંથી આયાત અને નિકાસ 25 થી 30 ટકા જેટલી ઘટવાની સંભાવના છે. અમેરિકા સાથે ટ્રેડ ડિલ બાદ રશિયા અને વેનેઝુએલાથી આવતો ખનીજતેલનો જથ્થો ઓછો થઇ ગયો છે. આ ઉપરાંત ભારત ઇરાન પાસેથી પણ ખનીજતેલની ખરીદી કરે છે. ઇરાને હવે હોમુર્ઝની ખાડીવાળો દરિયાઇ માર્ગ બંધ કરીને ઓઇલ ટેન્કરોને મધદરિયે રોકી દીધાં છે. ખનીજતેલની માગની સામે જથ્થો ઓછો થઇ જતાં આગામી દિવસોમાં તેના ભાવ વધવાની સંભાવના છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં આવેલાં ફાર્મા, બલ્ક ડ્રગ્સ, એગ્રો તથા પેટ્રો કેમિકલના ઉદ્યોગો પર અસર થઇ શકે છે. ઇરાન અને ઇઝરાઇલ વચ્ચે યુધ્ધ લાંબુ ચાલશે તો ખનીજ તેલની સાથે તેની બાય પ્રોડકટના ભાવ પણ ભડકે બળશે. રો- મટીરીયલ મોંધુ થવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જશે. જેની સીધી અસર ભરૂચ જિલ્લામાંથી થતી આયાત અને નિકાસ પર પડશે. ઉદ્યોગકારોના મતે આયાત અને નિકાસમાં 25 થી 30 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. વિદેશમાંથી મળતા નવા ઓર્ડર પણ ઓછા થશેઈરાન -અમેરિકાના યુદ્ધથી વૈશ્વિક બજાર પર મોટી અસર ઉભી થઇ રહી છે. ક્રૂડ ઓઇલમાંથી જ વિવિધ બાય પ્રોડક્ટ આવતી હોય છે.ઓઇલની કિંમતમાં યુદ્ધ ને લઇ વધારો થઇ શકે છે. જેને લઇ ઉદ્યોગોના ઓઇલ આધારિત રો- મટીરીયલ કિંમત વધી શકે છે જે ઉત્પાદિત ખર્ચમાં વધારો કરવા સાથે ઉત્પાદિત માલની કિંમત માં પણ વધારો કરશે. જેને લઇ આયાત નિકાસ પર ઉંચા ભાવને લઇ બ્રેક વાગશે. વધુમાં નવા ઓર્ડર આવતા અટકી પડશે . - રમેશ ગાબાણી , પૂર્વ પ્રમુખ એ.આઈ.એ અને આયાત નિકાસકર્તા. યુદ્ધ ઝડપથી પૂર્ણ થવું જરૂરી છે રશિયા અને યુક્રેન બાદ હવે ખાડી દેશોમાં યુધ્ધ શરૂ થઇ જતાં ઉદ્યોગોની મુશ્કેલી વધી છે.ભારતને ઈરાન પાસે ક્રૂડ ઓઇલનો જથ્થો મળતો હતો. માલ સામાનની આયાત તથા નિકાસ માટે ઇરાનના ચાબહાર બંદરનો લાભ મળતો હતો જે બંધ થઇ ગયો છે. આ સ્થિતિમાં ઉદ્યોગોની આયાત અને નિકાસમાં 25 થી 30 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. - ડૉ. મહેશ પટેલ, ઉદ્યોગકાર ઇરાનના ચાબહાર બંદરથી ઉદ્યોગોને લાભ થતો હતોભારતના આયાત નિકાસ વેપાર માર્ગ પર કંડલા અને ચાબહાર બંદર સીધું જોડાણ ચાબહાર બંદર ઈરાનનું સૌથી દક્ષિણનું શહેર છે અને એક મુક્ત વેપાર ઝોન છે. ભારતે ચાબહાર બંદરમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. 2016 થી તેના વિકાસમાં સામેલ છે. ચાબહાર બંદર ગુજરાતના કંડલા બંદર સાથે દરિયાઈ માર્ગે જોડાયેલું છે જે વેપારને વેગ આપે છે. તાજેતરમાં ઈરાન પર અમેરિકા- ઇઝરાયેલના તણાવને કારણે આ પ્રોજેક્ટ પર જોખમ તોળાઈ રહ્યું છે. ભારત માટે તે ભૌગોલિક-રાજકીય રીતે અનિવાર્ય છે.
વેધર રિપોર્ટ:ભરૂચમાં હોળીના દિવસે તાપમાન 34 ડિગ્રી, ઉનાળો આકારો રહેશે
ભરૂચમાં હોળીની સાથે હવે આકારા ઉનાળાની શરૂઆત થઇ રહી છે. હોળીના દિવસે શહેરનું તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં વધારો થતા દિવસે વધુ ગરમી અનુભવાઇ હતી. જોકે ગત ત્રણ દિવસ દરમિયાન તાપમાન ઘટતાં ગરમી ઓછી થઈ હતી પણ સોમવારે ફરી તાપમાન 7 ડિગ્રી વધતા ગરમી અનુભવાઇ હતી. ખુલ્લા આકાશના કારણે સુર્યના કિરણો સીધા જમીન પર પડી રહયાં હોવાથી તાપમાનમાં વધારો થઇ રહયો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 34 ડિગ્રી પહોંચ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી ની આસપાસ નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 20 ટકા અને પવનની ગતિ પણ ઘટીને 10 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 42 ડિગ્રી સીધી જવાની સંભાવના સેવાઈ રહી છે. પવનની ગતિ માં ઘટાડો થતાં ખેડૂતો ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે.
ફરિયાદ:રાણા વડવાળા ગામે આધેડપર ચાર શખ્સનો હુમલો
રાણા વડવાળા ગામે રહેતા એક આધેડના દીકરા સાથે 2 વર્ષ પહેલા આરોપીઓને ઝઘડો થયો હતો જે વાતનું મનદુખ રાખી આરોપીએ આધેડને લોખંડના પાઈપ અને કુહાડી મારી દેતા આધેડને ઇજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવના રાણા વડવાળા ગામે રહેતા ગોવિંદભાઈ મુંજાભાઈ ચાંડપા નામના આધેડના નાના દિકરા તથા આરોપીઓ રવિ મનસુખ ચાવડા, પ્રકાશ મનસુખ ચાવડા, દિવ્યેશ દેવા ચાંડપા અને દેવા નારણ ચાંડપા વચ્ચે 2 વર્ષ પહેલા બોલાચાલી અને ઝઘડો થયેલ હોય જે વાતનુ મન:દુખ રાખી આરોપી રવિ મનસુખ ચાવડા તથા આરોપી દિવ્યેશ દેવા ચાંડપા કુહાડી તથા લોખંડનો પાઇપ લઈને આધેડના મકાન પાસે આવી ચારેય આરોપીઓએ આધેડને ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, આધેડને કુહાડીનો એક ઘા મારી ઇજા પહોંચાડી હતી જ્યારે અન્ય આરોપીએ લોખંડના પાઇપના 2 ઘા આધેડના સાથળના ભાગે મારી મુઢ ઈજા પહોંચાડી હતી. આ અંગે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપી સામે ગુન્હો નોંધી આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વર્ષ 2025માં હોળીની રાત્રે થયેલા રક્ષિત કાંડની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે જે સ્થળે ઘટના બની હતી, તે સ્થળે તમામ પીડિત પરિવારો ભેગા થયા હતા અને મૃતક હેમાલીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી અને હેમાલીબેન સહિત તમામ પીડિતોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. મૃતક હેમાલી પટેલના પતિ પૂરવ પટેલે જણાવ્યું હતું કે, આ એક વર્ષ મેં કેવી રીતે વિતાવ્યું છે એ મને જ ખબર છે. અમારી સાથે જે થયું છે એ તદ્દન ખોટું થયું છે. છેલ્લા 10 મહિનામાં મારી જે હાલત થઈ છે એ હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મારા શરીરમાં ઘણી બધી ઈજાઓ થઈ હતી, જેના કારણે 7થી 8 ઓપરેશન કરાવવા પડ્યા છે. સાચું કહું તો, હું હજુ પણ શારીરિક અને માનસિક રીતે આ પડકારોનો સામનો કરી રહ્યો છું. સૌથી મોટું દુઃખ તો એ છે કે મેં મારા પરિવારનું એક મહત્વનું અંગ (મારી પત્ની) ગુમાવ્યું છે, જે હવે મારી સાથે નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આ ગુનો કર્યો છે, તે રક્ષિત અત્યારે બહાર છૂટો ફરી રહ્યો છે. મારી ન્યાયપાલિકા અને પોલીસને એક જ વિનંતી છે કે તેને બને તેટલી કડક અને જલ્દી સજા મળે. એક વર્ષ વીતી ગયું હોવા છતાં તેને હજુ સુધી સજા મળી નથી, એ અમારા માટે ખૂબ જ દુઃખદ છે. હું ઈચ્છું છું કે કોર્ટ તેની જામીન રદ કરે અને તેને એવી સજા આપે કે જે ભવિષ્યમાં એક ઉદાહરણ બને. ટ્રાફિકના નિયમો પણ કડક હોવા જોઈએ જેથી કોઈ પણ વ્યક્તિ નશો કરીને કે બેફામ રીતે ગાડી ચલાવતા ડરે. અમારા જેવા કેટલાય પરિવારો આજે પણ આના કારણે દુઃખ ભોગવી રહ્યા છે. મૃતક હેમાલી પટેલની બહેને જણાવ્યું હતું કે, હું હેમાલીની બહેન છું. આજે હોળીનો તહેવાર છે, પણ અમારે મન આ તહેવાર જેવું કંઈ નથી. અમે આ તહેવાર નથી મનાવી રહ્યા કારણ કે મારી બહેન આજે અમારી વચ્ચે નથી. અમે તેને હજુ પણ સતત યાદ કરીએ છીએ અને તેને ભૂલી શક્યા નથી. આ દુર્ઘટનાને હવે એક વર્ષ પૂરું થવા આવ્યું છે, પરંતુ દુઃખની વાત એ છે કે હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલે કંઈ કડક કાર્યવાહી થઈ કે નથી. પોલીસ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક પગલાં લેવાયા નથી. અમે હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી બસ એક જ માંગ છે કે જે પણ દોષિત છે, તેને જલ્દીમાં જલ્દી સજા મળે. આ મામલે બને તેટલી ઝડપથી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી મારી બહેનને સાચો ન્યાય મળી શકે. 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. રક્ષિત અકસ્માત કર્યા બાદ કારમાંથી નીચો ઊતર્યો હતો અને Another Round - Another Roundની બૂમો પાડવા લાગ્યો હતો. આ ઉપરાંત તે 'નિકિતા મેરી...' એવી પણ બૂમો પાડતો હતો. ત્યારબાદ Another Round અને નિકિતાને લઈને રહસ્ય સર્જાયું હતું. કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચોરસીયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં રક્ષિત, પ્રાંશુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી જોવા મળી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીએસ એકટની કલમ-27A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેયને આરોપી દર્શાવાયા હતા. ઘટનામાં વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈ ગયા હતા. આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારનું ડોંગલ પ્રાંશુના મોબાઈલની MY VW એપ્લિકેશન સાથે કનેક્ટ હતું. જેથી, પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કારની સ્પીડ 140 હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આરોપી રક્ષિતે રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં વડોદરા કોર્ટના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલ દ્વારા બંને વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રક્ષિતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી હતી, જેથી હાલ રક્ષિત જેલમાંથી બહાર છે
રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન દરમિયાન હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. હોલિકા દહન વખતે અન્ય ધર્મના યુવકોને હિન્દુ યુવાનો દ્વારા સાઇડમાં જવાનું કહેવામાં આવતા બોલાચાલી થતા તેઓ સામસામે આવી ગયા હતા. જોકે સ્થાનિકો દ્વારા બંને સમાજના યુવાનોને છુટ્ટા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન DCP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનોને છુટ્ટા પાડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે 3 જેટલા યુવાનોની અટકાયત કરી હતી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો. DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, ભગવતી પરા વિસ્તારમાં હોલિકા દહન થઈ રહ્યું હતું તે દરમિયાન અન્ય ધર્મના લોકો ત્યાંથી નીકળતા હતા ત્યારે હિન્દુ ધર્મના યુવાનોએ તેઓને સાઈડમાં રહેવા માટેનું કહેતા બોલાચાલી થઈ હતી. જે બાદ 3 યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. હોલિકા દહન દરમિયાન ત્યાંથી પસાર થતા મુસ્લિમ યુવકોને સાઇડમાં જવાનું કહેવામાં આવ્યુ હતુ. જોકે તેઓએ જગ્યા ન આપતા ઘર્ષણ સર્જાયુ હતુ. પરંતુ સ્થાનિકો દ્વારા બંને સમાજના યુવાનોને સ્થાનિકો દ્વારા છુટા પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.જે બાદ પોલીસ દ્વારા 3 જેટલા યુવાનોને રાઉન્ડ અપ કરી તેઓની અટકાયત કરવામાં આવી હતી.
સુરતના જાણીતા તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં જેલમાં બંધ આરોપી પૂનમ ભદોરિયાએ મુક્તિ માટે જામીન અરજી કરી હતી. આ મામલે બચાવ પક્ષના એડવોકેટ વિનય શુક્લાની રજૂઆતો બાદ, આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી. સરકાર પક્ષે આરોપીના જામીનનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ કેસની તપાસ હાલ અત્યંત નાજુક તબક્કામાં છે અને આવા સમયે આરોપીને મુક્ત કરવાથી કેસ પર અસર પડી શકે તેમ છે. 'નિકટતાનો ગેરલાભ ઉઠાવીને આયોજનબદ્ધ આર્થિક એક્સ્ટોર્શન કર્યું હતું'સરકારી વકીલે કોર્ટ સમક્ષ મહત્વનું પાસું રજૂ કરતા જણાવ્યું કે, મૃતક તુષાર ઘેલાણી અને આરોપી પૂનમ વચ્ચે મિત્રતા હોવી એ કોઈ ગુનો નથી, પરંતુ આરોપીએ આ સંબંધનો દૂરોપયોગ કર્યો છે. દલીલ મુજબ, પૂનમ ભદોરિયાએ તુષાર ઘેલાણી સાથેની નિકટતાનો ગેરલાભ ઉઠાવીને આયોજનબદ્ધ રીતે આર્થિક એક્સ્ટોર્શન કર્યું હતું. આરોપીએ પોતાના અને પોતાના પરિવારના સભ્યોના નામે આર્થિક લાભ મેળવવા માટે મૃતક પર દબાણ બનાવ્યું હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પ્રોપર્ટી અને સ્કૂલમાં ભાગીદારીનો વિવાદકોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, આરોપીએ મિત્રતાના ઓઠા હેઠળ તુષાર ઘેલાણી પાસેથી વખતો-વખત કિંમતી પ્રોપર્ટીઓ પોતાના નામે કરાવી લીધી હતી. આટલું જ નહીં, 'બ્લ્યુ પેપીલોન' સ્કૂલમાં ભાગીદારી મેળવવાની સાથે સાથે શહેરની બે મહત્વની દુકાનો પણ પોતાના નામે લખાવી લીધી હોવાની હકીકતો સામે આવી છે. આ આર્થિક માનસિક ત્રાસને કારણે જ તુષારે અંતિમ પગલું ભર્યું હોવાનું સરકાર પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું. કોર્ટ આગામી દિવસોમાં ચુકાદો આપી શકે આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા દરમિયાન મૂળ ફરિયાદીના પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ હાજર રહ્યા હતા અને તપાસમાં ખુલેલી વિગતોને ટેકો આપ્યો હતો. જામીન અરજી પરની આ દલીલો પૂર્ણ થયા બાદ હવે કોર્ટ આગામી દિવસોમાં ચુકાદો આપી શકે છે. સુરતની જનતા અને કાનૂની જગતની નજર હવે કોર્ટના નિર્ણય પર ટકેલી છે કે શું પૂનમ ભદોરિયાને રાહત મળશે કે જેલવાસ ચાલુ રહેશે. શું હતો સમગ્ર મામલો? સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાઉસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. એ બાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી. સાથે જ બુલેટ્સના પાર્ટુકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી જતાં મગજમાં સોજો આવી ગયો હતો. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા, જોકે ઈજા એટલી ગંભીર હતી કે બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. કોણ હતા તુષાર ઘેલાણી? તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા. આ પણ વાંચો- દીકરીના કંકોત્રી લેખનના દિવસે જ પિતાનો ગોળી મારી આપઘાતનો પ્રયાસ, ઘરે મંડપ પણ રોપાઈ ગયાં હતાં આ પણ વાંચો- સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર, પરિવારની અંગદાનની જાહેરાત આ પણ વાંચો: 'મિ.તુષાર ઘેલાણી, તમે હવે મજા લો અને ખુશ થાઓ', દીકરીએ પિતાને કરેલા મેસેજની વ્હોટ્સએપ ચેટ સામે આવી આ પણ વાંચો:- બિલ્ડર ઘેલાણીની 'મહિલામિત્ર'એ સ્કૂલ વહીવટમાં મોટો ખેલ પાડ્યો
અમદાવાદના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈને સોનાના દાગીનાની ચોરી કરતી બે મહિલાઓને નરોડા પોલીસે ઝડપી પાડી છે. ધરપકડ કરાયેલી બંને મહિલાઓ કૌટુંબિક બહેનો છે. બંને મહિલાઓની સાથે અન્ય બે મહિલાઓ પણ ગ્રાહક બની જ્વેલર્સની દુકાનોમાં પ્રવેશતી અને દુકાનદાર સોનાના દાગીના બતાવે ત્યારે તેમને વાતોમાં રાખી અથવા અન્ય બહાને નજર ચૂકવી દાગીના ચોરી કરતા હતા. નરોડા પોલીસે સોનાની ચુનીઓ અને કડી સહિત રૂપિયા 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાર મહિલાઓ એક બાળક સાથે જ્વેલર્સની દુકાનમાં આવીશહેરના નરોડા વિસ્તારમાં આવેલા જે.જે જ્વેલર્સ નામની દુકાનમાં 24 ફેબ્રુઆરીના રોજ ત્રણેક વાગ્યાની આસપાસ ચાર જેટલી મહિલાઓ એક બાળક સાથે દુકાનમાં આવી હતી. જેમાં સૌ પ્રથમ બે મહિલાઓ આવી હતી અને બાદમાં અન્ય બે મહિલાઓ આવી હતી. જે.જે જ્વેલર્સમાં હાજર દુકાન માલિકની દીકરીએ બહેનોને કાનમાં પહેરવાની બુટ્ટી અને ચુની બધું બતાવ્યું હતું. ચારેય મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરીત્યાર બાદ અલગ અલગ વસ્તુ બતાવવાનું કહ્યું અને કારીગર પાસે પાણી મંગાવ્યું હતું. આ દરમિયાન બીજા ગ્રાહક આવતા દુકાનદાર તેમને પણ વસ્તુ બતાવવા હતા, ત્યારે ચારેય મહિલાઓ તમારે વાર લાગશે કહી નીકળી ગઈ હતી. જોકે, દુકાનદારની દીકરીએ ચુનીઓના પેકેટની જ્યારે તપાસ કરી તો તેમાંથી કેટલીક કડી અને ચુની જોવા મળી નહોતી. ચારેય મહિલાઓ નજર ચૂકવીને ચોરી કરી જતી રહી હતી. નરોડા પોલીસે બે મહિલાઓની ધરપકડ કરીજ્વેલર્સના માલિક દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે જ્વેલર્સની દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને તેના આધારે શહેરના એસ.જી. હાઈવે પર થલતેજના પેલેડિયમ મોલ પાસે બ્રિજ નીચે રહેતી કોયલ દેવીપુજક અને ગીતા દેવીપુજક નામની બે મહિલાઓની ધરપકડ કરી હતી. બે મહિલાઓ ગર્ભવતી હોવાથી નોટિસ આપીનરોડા પાલીસ સ્ટેશનના પીઆઇ પી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે ચાર મહિલાઓ આવી હતી. જેમાં સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જેના આધારે બે મહિલાઓની ધરપકડ કરાઈ છે. અન્ય બે મહિલાઓ ગર્ભવતી હોવાને કારણે તેમને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સોનાની ચુનીઓ અને કડી વગેરે કબજે કરાઈહાલ બે આરોપી મહિલાઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના મુદ્દામાલમાં ગયેલી સોનાની ચુનીઓ અને કડી વગેરે કબજે કરવામાં આવ્યું છે. આરોપી મહિલાઓ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકોના સ્વાંગમાં જઈ વાતોમાં રાખીને સોનાના દાગીનાની ચોરી કરી છે. બે મહિલાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાની દર્શનમ ઓએસિસ સોસાયટીમાં હોલિકા દહન:ધાર્મિક ભાવના અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો તહેવાર
વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલી દર્શનમ ઓએસિસ સોસાયટીમાં હોલિકા દહનનો તહેવાર ધાર્મિક ભાવના અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસર પર ભવ્ય અને ધાર્મિક પરંપરાઓ અનુસાર વિશેષ આયોજન કરાયું હતું. હોલિકા દહન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે અસત્ય પર સત્યની, અંધકાર પર પ્રકાશની અને ખરાબ પર સારા વિચારોની જીતનું પ્રતીક મનાય છે. આ તહેવાર ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવવાનો સંદેશ આપે છે. આ અવસરને ધ્યાનમાં રાખીને સમૂહ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તમામ વડીલો, માતાઓ-બહેનો, યુવાનો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પાવન તહેવારની ધાર્મિક મહત્તાને ઉજાગર કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિ મુજબ પૂજન-અર્ચન બાદ હોલિકા દહન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક મંત્રોચ્ચાર અને પરંપરાગત રીતરિવાજોનું પાલન કરાયું હતું.આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. હોલિકા દહન માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે તે બાબત પર વિશેષ ધ્યાન અપાયું હતું. તેમજ અગ્નિસુરક્ષા માટે જરૂરી સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પાવન તહેવાર સમાજમાં ભાઈચારો, પ્રેમ, એકતા અને સુખ-સમૃદ્ધિનો સંદેશ ફેલાવે તેવી શુભકામનાઓ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.
અલખધામ મંદિરમાં હોલિકા દહન:વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં ધાર્મિક પરંપરાઓ સાથે હોળી પર્વની ઉજવણી
વડોદરાના ન્યુ વિઆઇપી રોડ પર આવેલા ખોડીયારનગર વિસ્તારમાં અલખધામ મંદિર દ્વારા ધાર્મિક પરંપરાઓ અનુસાર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના પૂજારી લાલા મહારાજે હોલિકા દહનનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ તહેવાર અસત્ય પર સત્યની, અંધકાર પર પ્રકાશની અને ખરાબ પર સારા વિચારોની જીતનું પ્રતીક છે. તેમણે આ તહેવારને ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓ જાળવવાનો સંદેશ ગણાવ્યો હતો. આ અવસરે સમૂહ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના વડીલો, માતાઓ-બહેનો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિ મુજબ પૂજન-અર્ચન બાદ મંત્રોચ્ચાર અને પરંપરાગત રીતરિવાજો સાથે હોલિકા દહન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ આયોજનમાં પર્યાવરણ સંરક્ષણનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. હોલિકા દહન માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે તે સુનિશ્ચિત કરાયું હતું. ઉપરાંત, અગ્નિસુરક્ષા માટે જરૂરી સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પાવન તહેવાર સમાજમાં ભાઈચારો, પ્રેમ, એકતા અને સુખ-સમૃદ્ધિનો સંદેશ ફેલાવે તેવી શુભકામનાઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાની માધવ રેસી કમ પ્લાઝામાં હોલિકા દહન ઉજવાયું:રહીશોએ ધાર્મિક ભાવના સાથે તહેવારની ઉજવણી કરી
વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલી માધવ રેસી કમ પ્લાઝા સોસાયટીમાં હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. સોસાયટીની કારોબારી સમિતિ અને બાળકોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. સોસાયટીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ તહેવારની તૈયારીના ભાગરૂપે, સોસાયટીના રહીશો દ્વારા લાકડાં એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેની યોગ્ય ગોઠવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની વ્યવસ્થામાં પણ સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે 7:00 કલાકે ભૂદેવ દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે હોળીકાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોસાયટીના તમામ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેનો લાભ લીધો હતો. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે વિધિપૂર્વક હોળીકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે નાના બાળકો તેમજ સોસાયટીના ભાઈઓ-બહેનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સૌએ પોતાના અને સમાજના સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.હોળીકા દહન બાદ સોસાયટીના રહીશોએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી અને આનંદભેર પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા.
ભાવનગર શહેરમાં હોળી-ધુળેટી તથા રમજાન માસના પવિત્ર તહેવારોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસવડા દ્વારા નિલમબાગ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગભાવનગર શહેરમાં હોળી-ધુળેટી તથા રમજાન માસના પવિત્ર તહેવારો દરમિયાન લોકો શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણમાં ઉજવણી કરી શકે તે હેતુસર ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ નિલમબાગ પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ધાર્મિક સ્થળોની મુલાકાત લીધીઅલ્કા ટોકીઝ, શેલરશા ચોક, આંબા ચોક, ખારગેટ, મામાકોઠા રોડ, બાર્ટન લાઇબ્રેરી અને હલુરિયા ચોક સુધી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એસપી નિતેશ પાંડે, સિટી ડીવાયએસપી, સહિત પોલીસ કર્મચારીઓ અને જવાનો જોડાયા હતા તેમજ રૂટ પર આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી.
સુરત મહાનગરપાલિકાની મિલકતો, સ્ટ્રીટ લાઈટના પોલ અને વૃક્ષો પર મંજૂરી વગર ઠેર-ઠેર લાગેલા ગેરકાયદે જાહેરાતોના બોર્ડને લઈને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને લાલ આંખ કરી છે. સોમવારે ICCC ખાતે મળેલી રિવ્યૂ બેઠકમાં કમિશનરે તમામ ઝોનના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે શહેરમાં ગેરકાયદે બેનરોની ભરમાર જોવા મળી, ત્યારે કમિશનરે ગંભીર બેદરકારી બદલ અધિકારીઓને ઉધડા લીધા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે આવી ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં. બંધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને વહેલી તકે કાર્યરત કરવા સૂચનાબેઠક દરમિયાન કમિશનરે માત્ર જાહેરાતો જ નહીં, પરંતુ શહેરના અન્ય મહત્વના પ્રકલ્પો પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સ્પોર્ટ્સ પોલિસીના અમલીકરણ અને ખાસ કરીને વરાછા તેમજ લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી બંધ પડેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને વહેલી તકે કાર્યરત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને શહેરની સાફ-સફાઈ અને સુંદરતા પર વિશેષ ફોકસ કરવા તમામ ઝોનલ અધિકારીઓને આદેશ અપાયા હતા. એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ કરવા કડક સૂચનાપ્રેઝન્ટેશન દરમિયાન ફૂટપાથ રિપેરિંગ અને વોટર ટેબલ સેટિંગ જેવી કામગીરીના ફોટાઓમાં ગેરકાયદે પોસ્ટરો દેખાતા કમિશનરનો મિજાજ તેજ થયો હતો. તેમણે દરેક ઝોનને ઓછામાં ઓછા 10 એવા કેસ શોધવા જણાવ્યું હતું જેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોય. કમિશનરે શરૂઆતમાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ એજન્સીઓ સામે સીધી પોલીસ ફરિયાદ કરવાની કડક સૂચના આપી હતી, જેનાથી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મંજૂરી વગર જાહેરાતો કરતી એજન્સીઓમાં ફફડાટઅધિકારીઓની રજૂઆત બાદ અંતે કમિશનરે થોડું નરમ વલણ અપનાવતા હાલ પૂરતું દંડકીય કાર્યવાહી કરી એજન્સીઓને અંતિમ ચેતવણી આપવા સંમતિ દર્શાવી હતી. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સ્થિતિમાં સુધારો નહીં આવે, તો કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધી જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી મંજૂરી વગર જાહેરાતો કરતી એજન્સીઓમાં ફફડાટ ફેલાયો છે.
સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ શહેરમાં આગમન કરે તે પૂર્વે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. શહેરને સાફ-સુથરું બતાવવા અને રેન્કિંગમાં મોખરે રાખવા માટે ખુદ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાનમાં ઉતર્યા છે. સોમવારે વહેલી સવારથી કમિશનરે 'ફિલ્ડ માર્શલ' બનીને શહેરના વિવિધ વિસ્તારોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. જોકે, આ નિરીક્ષણ દરમિયાન પાલિકાના પોતાના જ પ્રોજેક્ટ્સની કફોડી હાલત જોઈને કમિશનરનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. સરકારી મિલકતો પર ગંદકીના થરરિંગરોડ બ્રિજ નીચે આવેલા માન દરવાજા ખાતેના અદ્યતન EV ચાર્જિંગ સ્ટેશનની મુલાકાત દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. લાખોના ખર્ચે બનેલા આ સ્ટેશનમાં જાળવણીના અભાવે મશીનરી પર ધૂળના જાડા થર જામ્યા હતા અને પરિસરમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા. આ સ્થિતિ જોઈને કમિશનરે તત્કાલ સ્ટ્રીટ લાઈટ વિભાગના જવાબદાર અધિકારીઓને ફોન પર જ ફટકાર લગાવી હતી. આરોગ્ય વિભાગ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકીકમિશનરે અધિકારીઓને ખખડાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો પાલિકા પોતાની સરકારી મિલકતોની જ જાળવણી કરી શકતી નથી, તો સામાન્ય જનતાને સ્વચ્છતાનો સંદેશ કેવી રીતે આપી શકાશે? તેમણે આરોગ્ય વિભાગ સામે પણ કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, કારણ કે જાહેર સ્થળોની સફાઈની જવાબદારીમાં મોટી ચૂક જોવા મળી હતી. સુરતમાં 81 હજારથી વધુ EV છતાં સ્ટેશનો ધૂળધાણીસુરત શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. હાલમાં સુરતમાં આશરે 81,114 જેટલા EV વાહનો નોંધાયેલા છે. આ વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પાલિકાએ શહેરમાં કુલ 50 જેટલા ચાર્જિંગ પોઈન્ટ્સ ઊભા કર્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આમાંથી 8 પોઈન્ટ એવા છે જ્યાં આખા મહિનામાં માંડ એક કે બે કાર ચાર્જિંગ માટે આવે છે. ચાર્જિંગ સ્ટેશનો ખાલી રહેવા પાછળના કારણોપાલિકાના એનર્જી એફિશિયન્સી સેલના આંકડા મુજબ, જાહેર સ્ટેશનો પર ચાર્જિંગનો દર ઘણો ઊંચો છે. પરિણામે વાહન માલિકો જાહેર સ્ટેશનને બદલે ઘરે વાહન ચાર્જ કરવાનું વધુ પસંદ કરે છે. માન દરવાજા જેવી સ્થિતિ અન્ય સ્થળોએ હોવાને કારણે વાહન ચાલકો ત્યાં જવાનું ટાળે છે. યોગ્ય જાળવણી અને પ્રચારના અભાવે લાખોના ખર્ચે ઉભા કરાયેલા આ સ્ટેશનો 'શોભાના ગાંઠિયા' સમાન બની રહ્યા છે. જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાશેકમિશનરની આ મુલાકાત બાદ સમગ્ર પાલિકા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્વચ્છતા સર્વેક્ષણ નજીક હોવાથી હવે તમામ ઝોનના અધિકારીઓ પોતાના વિસ્તારમાં આવેલી સરકારી મિલકતો અને જાહેર સ્થળોની સફાઈ પાછળ દોડતા થયા છે. કમિશનરે આદેશ આપ્યો છે કે, તમામ પ્રોજેક્ટ્સ અને સ્ટેશનોની નિયમિત સફાઈ થવી જોઈએ, અન્યથા જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા એક તરફ સ્માર્ટ સિટીના દાવા કરી રહી છે, તો બીજી તરફ શહેરની પ્રાથમિક સુવિધાઓમાં ગંભીર છીંડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય વિભાગમાં વહીવટી તંત્રની નિષ્ફળતા હવે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ બાબતોમાં પણ સામે આવી રહી છે. સુરત શહેરમાં હાલમાં શબવાહિનીઓની અછત છે, જેના કારણે મૃતકોના પરિવારોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. મહાનગરપાલિકા પાસે માત્ર 19 શબવાહિનીઓ જ ઉપલબ્ધસુરત શહેરની વસ્તી 70 લાખને વટાવી ગઈ છે, પરંતુ તેની સામે મહાનગરપાલિકા પાસે માત્ર 9 પોતાની અને 10 કોન્ટ્રાક્ટ પર એમ મળીને કુલ 19 શબવાહિનીઓ જ ઉપલબ્ધ છે. શહેરના વિસ્તાર અને મૃત્યુદરને જોતા આ સંખ્યા અત્યંત ઓછી છે. જ્યારે કોઈ નાગરિક ટોલ-ફ્રી નંબર 102 પર સંપર્ક કરે છે, ત્યારે મોટાભાગે 'વાહન ઉપલબ્ધ નથી' અથવા 'વાહન આવતા 2-3 કલાક લાગશે' તેવો જવાબ મળે છે. રચનાબેન હીરપરાની આકરી પ્રતિક્રિયા અને રજૂઆતવિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ આ બાબતે મનપા તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં તંત્ર દાટ વાળી રહ્યું છે. સ્વજનના મૃત્યુના સમયે પરિવાર પહેલેથી જ આઘાતમાં હોય છે, તેવામાં શબવાહિની માટે કલાકો સુધી રઝળપાટ કરવો પડે તે માનવતાની દ્રષ્ટિએ પણ શરમજનક છે. નવી 10 થી 15 શબવાહિનીઓ ખરીદવામાં આવેતેમણે કમિશનરને પત્ર લખી માંગ કરી છે કે, તાત્કાલિક ધોરણે નવી 10 થી 15 શબવાહિનીઓ ખરીદવામાં આવે અથવા કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે. શબવાહિનીઓને સેન્ટ્રલાઈઝ રાખવાને બદલે દરેક ઝોન કે વોર્ડ વાઈઝ ફાળવવામાં આવે, જેથી જે-તે વિસ્તારમાં ઝડપથી સેવા પૂરી પાડી શકાય અને કોઈપણ કોલ આવ્યા બાદ વધુમાં વધુ 30 થી 45 મિનિટમાં વાહન ઘટનાસ્થળે પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. સાથે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે એક નક્કર એક્શન પ્લાન જાહેર કરવામાં આવે અને તેની અમલવારીનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત મોનિટરિંગ થાય. પરિવારોએ ખાનગી એમ્બ્યુલન્સના મોંઘા ભાડા ચૂકવવા પડ્યાશહેરમાં અનેક કિસ્સાઓ એવા બન્યા છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ ખાનગી એમ્બ્યુલન્સના મોંઘા ભાડા ચૂકવવા પડ્યા છે અથવા રિક્ષા કે અન્ય વાહનોમાં પાર્થિવ દેહને લઈ જવાની નોબત આવી છે. 102 નંબરની સેવા માત્ર કાગળ પર જ કાર્યક્ષમ હોય તેવું જણાઈ રહ્યું છે. રચનાબેને વધુમાં ઉમેર્યું હતું કે, આ મુદ્દો માત્ર વહીવટી નથી પણ ભાવનાત્મક છે. તંત્રએ તાત્કાલિક જાગીને આ સંવેદનશીલ વિષય પર ધ્યાન આપવું જોઈએ.
આનંદપુરાકંપામાં હોલિકા દહન:ગ્રામજનોએ પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી
આનંદપુરાકંપા ગામમાં હોલિકા દહનનો પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ ગામમાં 65 વર્ષ જૂની પરંપરા મુજબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.આ પરંપરાગત ઉજવણી લગભગ પાંસઠ વર્ષથી ચાલી આવે છે. આ પ્રસંગે ગ્રામજનોએ હાથમાં ધાણી, ખજૂર અને શ્રીફળ લઈને હોલિકા માતાની પ્રદક્ષિણા કરી હતી. વડીલો, માતાઓ, બહેનો અને બાળકો સહિત સૌએ હોલિકા માતાની પ્રદક્ષિણા કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. આ દરમિયાન શ્રીફળને હોળીમાં હોમવામાં આવ્યું હતું.ઉજવણીના અંતે, સૌ ગ્રામજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બાળકોએ વિવિધ રમતો રમીને આ ઉત્સવનો આનંદ માણ્યો હતો.
વલસાડ જિલ્લામાં હોલિકા દહન કરાયું:જ્વાળાઓની દિશા પરથી આગામી વર્ષનું અનુમાન
વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધિવત પૂજા-અર્ચના બાદ હોલિકા પ્રગટાવવામાં આવી હતી. સ્થાનિક લોકો અને નિષ્ણાતો હોલિકાની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવે છે. વલસાડ જિલ્લાના તમામ વિસ્તારો અને ફળિયાઓમાં સ્થાનિક મંડળો દ્વારા હોલિકા દહન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને લોકોએ ભાગ લીધો હતો. હોલિકા દહન બાદ મહિલાઓએ પરિવારના સભ્યોના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે હોલિકાની પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન મનમાં રહેલી વેરભાવનાને હોલિકામાં બાળીને આગામી વર્ષ સુખમય અને ખુશીથી વીતે તેવી મનોકામના કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં યોજાયેલા ખેડૂત પરિસંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ વિભાગના અધિકારીઓને જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગુજરાતના પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે ઓળખાતા ડાંગમાં ખેડૂતો જીવામૃત બનાવવાની પદ્ધતિથી અજાણ હોવાનું સામે આવતા રાજ્યપાલે આ કડક વલણ અપનાવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જેઓ પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે, તેઓ ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત બનાવવાના સરકારના આહવાન બાદ સમયાંતરે ખેડૂતો સાથે સીધો સંવાદ કરતા રહે છે. રવિવારે આયોજિત લોકસંવાદ કાર્યક્રમમાં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આધારસ્તંભ ગણાતા ‘જીવામૃત’ વિશે સવાલો પૂછ્યા હતા. આશ્ચર્યજનક રીતે, મોટાભાગના ખેડૂતો જીવામૃત કેવી રીતે બનાવવું તે જાણતા ન હતા. આ પરિસ્થિતિને ગંભીર ગણીને રાજ્યપાલે ખેતીવાડી વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમની શિથિલતા ખુલ્લી પડી હતી. રાજ્યપાલે સ્પષ્ટ સૂચના આપી કે કૃષિ સહાયકોને તાત્કાલિક જીવામૃત તૈયાર કરવાની સચોટ તાલીમ આપવામાં આવે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે, “જો કર્મચારીઓ યોગ્ય રીતે કામ ન કરી શકે અથવા ખેડૂતો સુધી જ્ઞાન પહોંચાડી ન શકે, તો તેમને બદલી નાખો.” તેમણે પાયાના સ્તરે ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન કેમ નથી પહોંચતું તેની જવાબદારી નક્કી કરવાની પણ તાકીદ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન આત્મા, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ હાજર હતા અને ખેડૂતોની અજાણતા સામે આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. રાજ્યપાલના સીધા હસ્તક્ષેપ બાદ જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. રાજ્યપાલના આ કડક વલણને પગલે હવે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને જાગૃતિ અભિયાન વધુ તેજ બનવાની શક્યતા છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરના ભડલીના ઝાંપે વિસ્તારમાં પરંપરાગત હોળીકા દહન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી ચાલી આવતી માન્યતા મુજબ, હોળીકા દહન પ્રસંગે નવપરણીત યુગલો અને પ્રથમ સંતાન પુત્રને વરરાજા બનાવી ઢોલ-નગારા સાથે હોળીકાના દર્શન કરાવવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ હોળીકાની પ્રદક્ષિણા કરી શ્રીફળ હોમી આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમની તૈયારીઓ વિસ્તારના યુવાનો દ્વારા અગાઉથી કરવામાં આવી હતી. સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ કાળજી રાખવામાં આવતા કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. યુવક મંડળના ઉદયભાઈ ડવે આ અંગે માહિતી આપી હતી. આ ધાર્મિક કાર્યક્રમ પરંપરા અને શ્રદ્ધાનું પ્રતિક બન્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
સોમનાથમાં વૈદિક હોલિકા દહનનું આયોજન:પરંપરા, પર્યાવરણ અને આધ્યાત્મનો સંગમ જોવા મળ્યો
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હોલિકા પર્વે વૈદિક પરંપરા મુજબ હોલિકા દહનનું આયોજન કરાયું હતું. ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા અને પર્યાવરણનો સંતુલિત સંગમ જોવા મળ્યો. સામાન્ય રીતે હોલિકા દહનમાં લાકડાનો વધુ ઉપયોગ થતો હોય છે, પરંતુ ટ્રસ્ટે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગૌશાળાની ગીર ગાયના ગોમય (છાણા), ગીર ગાયનું ઘી, સીમિત સમિધ કાષ્ઠ, તલ, ધાણી, સાત પ્રકારના અનાજ, કપૂર અને ઔષધિઓનો ઉપયોગ કર્યો હતો. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક હોલિકા પ્રાગટ્ય અને દહન કરાયું. વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ 21 પ્રકારના આહુતિ દ્રવ્યોના થાળ સાથે ઢોલ, શરણાઈ અને ડમરૂના નાદ સાથે વૈદિક અર્પણ યાત્રા યોજી હતી. પૂજારીઓના માર્ગદર્શન હેઠળ વિધિવત પૂજન બાદ હોલિકા દહન કરાયું. આ આયોજનને પર્યાવરણમૈત્રી અને આયુર્વેદિક દૃષ્ટિએ લાભદાયી ગણાવવામાં આવ્યું. ગોમય અને ઔષધિઓના દહનથી પર્યાવરણ શુદ્ધ થતું હોવાની શાસ્ત્રોક્ત માન્યતા પણ રજૂ કરાઈ. ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન આહુતિની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. Somnath.org મારફતે માત્ર ₹21 ન્યોછાવર કરીને દેશ-વિદેશના હજારો પરિવારો ઘરે બેઠા હોલિકામાં પવિત્ર આહુતિ અર્પણ કરી શક્યા હતા. તેમણે લાઇવ દર્શનનો પણ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા વૈદિક સંસ્કૃતિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો, જેને ભક્તો અને ખાસ કરીને યુવાઓમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો.

25 C