SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

હિંમતનગરમાં લવ જેહાદ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન:કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી કડક કાર્યવાહીની માંગ

હિંમતનગર શહેરમાં લવ જેહાદના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. તેમાં લવ જેહાદના વધતા જતા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરીને આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે, મહેતાપુરા ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે લવ જેહાદના પ્રતીકરૂપે એક પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે પણ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:48 pm

‘કોંગ્રેસ શાસનમાં પ્રજા પરેશાન હતી’:બોરવાવ(ગીર)માં પૂર્વ ગૃહમંત્રી ઝડફિયાએ કહ્યું- ભાજપ 30 વર્ષથી સત્તામાં, છેવાડા સુધી વિકાસ પહોંચાડ્યો

તાલાલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. બોરવાવ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ જનસભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 1995 પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસનથી પ્રજા પરેશાન હતી. જ્યારે ભાજપ છેલ્લા 30 વર્ષથી વિકાસ કાર્યોને કારણે સત્તામાં છે. ઝડફિયાએ સભામાં જણાવ્યું કે, 1995 પહેલા ગુજરાતની સ્થિતિ લોકોએ જોઈ છે. તે સમયે ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસની ઓળખ હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે પ્રજા કોંગ્રેસના શાસનથી ત્રસ્ત હતી. તેમણે ઉમેર્યું કે, 1995માં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ છેલ્લા 30 વર્ષથી ગુજરાતના છેવાડાના લોકો સુધી વિકાસની યોજનાઓ પહોંચાડવામાં આવી છે. આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી સતત સત્તા પર રહી છે. પૂર્વ મંત્રીએ ઉમેદવારોને સંબોધતા કહ્યું કે, જ્યારે પ્રજા મોટી સત્તા સોંપે છે, ત્યારે જવાબદારી પણ વિશેષ બને છે. આવનારા દિવસોમાં પદના માધ્યમથી લોકોના હિતમાં કામ થાય તે સૌની જવાબદારી રહેશે. તેમણે ઉપસ્થિત લોકોને ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. આ સભામાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, લોકસભામાં 33% મહિલા અનામત કાયદાનો વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસની આગેવાનીમાં થયો અને વિરુદ્ધમાં મતદાન થયું. તેમણે કહ્યું કે, આ કાયદો પસાર ન થઈ શક્યો, જે મહિલાઓને તેમના હકથી વંચિત રાખવાનું કામ કોંગ્રેસ અને તેમના સાથી વિરોધ પક્ષોએ કર્યું છે.બારડે વધુમાં કહ્યું કે, પ્રજા તેમને માફ નહીં કરે અને વિશેષ કરીને મહિલાઓનો રોષ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ ભોગવવો પડશે.ગીર પંથકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:34 pm

સુરત રેલવે પોલીસને નિશાન બનાવી પાયાવિહોણા આક્ષેપો:પોલીસની કાર્યવાહીનો બદલો લેવા આરોપીઓએ ફરજમાં રુકાવટ કરી: વેસ્ટર્ન રેલવે SP

પશ્ચિમ રેલવે વડોદરા યુનિટની પોલીસને બદનામ કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયેલા વીડિયો પાછળ રીઢા ગુનેગારોનું કાવતરું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહીનો બદલો લેવા માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોએ હેડ કોન્સ્ટેબલની ફરજમાં રુકાવટ ઊભી કરી અશોભનીય વર્તન સાથે ખોટા આક્ષેપો કર્યા હોવાનો ખુલાસો રેલવે એસપી અભય સોનીએ કર્યો છે. ગેરકાયદે જુગાર પર પોલીસનો દરોડોઆ વિવાદના મૂળમાં તા. 13 એપ્રિલ 2026ના રોજ થયેલી કાર્યવાહી છે. વડોદરા એલ.સી.બી.એ ઉદવાડા રેલવે સ્ટેશન પર ઝાંસી-બાંદ્રા એક્સપ્રેસના વિકલાંગ કોચમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 11 આરોપીઓને ઝડપી પાડી 3,43,600નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દરમિયાન ભાગવા ગયેલા કાલુ રાઠોડ નામના શખ્સનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. આ કડક કાર્યવાહીનો બદલો લેવા લક્ષ્મણ ઉર્ફે લચ્છુ અને કર્મા અંતર સિંહે પોલીસને નિશાન બનાવી હતી. વીડિયો વાઇરલ કરવાનું કાવતરુંતા. 16 એપ્રિલ 2026ના રોજ સુરત રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ ચૌધરીને આ શખ્સોએ અટકાવી, ધક્કામુક્કી કરી વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં આક્ષેપ કરાયો હતો કે સુનિલભાઈ 'ભોલા' નામના શખ્સ સાથે મળી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવે છે. જોકે, હકીકત એ છે કે પોલીસે તે જ દિવસે 'ભોલા' વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આક્ષેપ કરનાર શખ્સોનો ગુનાહિત ઇતિહાસપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આક્ષેપ કરનારાઓ પોતે રીઢા ગુનેગારો છે. લક્ષ્મણ ઉર્ફે લચ્છુ સામે બળાત્કાર, ધમકી અને સરકારી કર્મચારી પર હુમલો કરવા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ટોળકી લાંબા સમયથી રેલવે સ્ટેશન પર ટિકિટનું બ્લેક માર્કેટિંગ અને ગેરકાયદે ચીજવસ્તુઓના વેચાણમાં સંડોવાયેલી છે. રેલવે તંત્ર દ્વારા હાલ હેડ કોન્સ્ટેબલ સુનિલ ચૌધરી સામે થયેલા આક્ષેપોની તટસ્થ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના પોલીસની છબી ખરડવા માટે પૂર્વયોજિત કાવતરું હોવાનું જણાય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:24 pm

જૂની અદાવતમાં ફરિયાદ પરત ખેંચી લેવા આપી ધમકી:'મારો દીકરો હત્યા કેસનો આરોપી છે, તમારા દીકરાને ક્યારે મારી નાખશે તમને ખબર પણ નહીં પડે

રાજકોટ શહેરના પ્રિયદર્શન વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારને છરી વડે હુમલાના જૂના કેસમાં સમાધાન કરવા માટે આરોપી અને તેના માતા-પિતા દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. આરોપીના માતા-પિતાએ મારો દીકરો તમારા પુત્રને ક્યારે મારી નાખશે તેની ખબર પણ નહીં પડે જેવી ધમકીઓ આપતા પીડિત પિતાએ અંતે પોલીસના શરણ લીધા છે. હુમલાની જૂની અદાવતરાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જગદીશભાઈ ટીંબલીયાના 17 વર્ષીય પુત્ર પર ગત 24 માર્ચના રોજ તેના મિત્ર જામ્બો ઉર્ફે આનંદે જૂની અદાવતમાં છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે અગાઉથી જ પોલીસ ફરિયાદ નોંધાયેલી હતી, જેનો બદલો લેવા અને કેસ પાછો ખેંચાવવા આરોપીનો પરિવાર દબાણ કરી રહ્યો છે. સતત અપાતી ધમકીઓફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીના માતા-પિતાએ અલગ-અલગ તારીખે ઘરે આવીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. 1 એપ્રિલના રોજ આરોપીના પિતાએ ધમકી આપી હતી કે જો સમાધાન નહીં કરો તો તમારા પુત્રને જ્યાં મળશે ત્યાં જાનથી મારી નાખીશું. 4-5 દિવસ બાદ ફરી ઘરે આવીને અમારા દીકરા સામે ફરિયાદ કરીને ભૂલ કરી છે, તમે લાંબું જીવવાનું વિચારતા નથી લાગતા તેમ કહી ડરાવ્યા હતા. 14 એપ્રિલે અંતિમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ છેલ્લી તક છે, નહીં તો તમારો દીકરો ખોઈ બેસશો. પોલીસ કાર્યવાહીવારંવાર મળતી ધમકીઓથી કંટાળીને જગદીશભાઈએ આરોપી જામ્બો તથા તેના માતા-પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:21 pm

મોરબીમાં બે દુર્ઘટના: યુવાનનો મૃતદેહ મળ્યો, બાળકીનું નિધન:ગુમ યુવાન નદીમાંથી મળ્યો, અધૂરા મહિને જન્મેલી બાળકીનું સારવારમાં મોત

મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક નવજાત બાળકીનું મૃત્યુ થયું છે. નવા સાદુળકા ગામમાંથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ નદીમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે અધૂરા મહિને જન્મેલી બાળકીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. પોલીસે બંને બનાવોની નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી તાલુકાના નવા સાદુળકા ગામના ૨૦ વર્ષીય ચતુરભાઈ કેશુભાઈ પરમાર ગત ૧૫ એપ્રિલના રોજ બપોરે ૨ વાગ્યાની આસપાસ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. તેમના પરિવારજનો અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન, મોરબી નજીક મચ્છુ-૩ ડેમ પાસે મચ્છુ નદીમાંથી ચતુરભાઈ પરમારનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાનના મોટાભાઈ રમેશભાઈ કેશુભાઈ પરમાર (ઉંમર ૪૦) એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ગુમ થયાની અને ત્યારબાદ મૃતદેહ મળ્યાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં, મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીમાં લાલબાગના પાણીના ટાંકા પાસે રહેતા રાહુલભાઈ માનસંગભાઈ પારઘી (ઉંમર ૨૧) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તેમની પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બાળકીનું અવસાન થયું હતું. બાળકીના પિતાએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:20 pm

ભુજના લોડાઇ ગામે પાણીપુરી પર પ્રતિબંધ મુકાયો:ફૂડ પોઈઝનિંગથી 70થી વધુ લોકો બીમાર હતા, ગામ દ્વારા પાણીપુરી વેચાણ બંધ કરાવાયું

ભુજ તાલુકાના લોડાઇ ગામે પાણીપુરી ખાધા બાદ 70થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. બે દિવસ પહેલા બજારમાં પાણીપુરી ખાધા પછી લોકોને પેટમાં દુખાવો અને ઉલટી થવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 36 જેટલા લોકોની તબિયત લથડી હતી. જોકે, ત્યારબાદ અન્ય લોકોને પણ અસર થતાં દર્દીઓનો આંકડો 70ને પાર પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ગામમાં સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 2671 લોકોનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો ગામમાં ફરી રહી છે અને લોકોની આરોગ્ય ચકાસણી કરી રહી છે. ફૂડ પોઈઝનિંગના કેસો વધતા સમસ્ત લોડાઇ ગામ દ્વારા હાલ પૂરતું પાણીપુરી વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:16 pm

સુરતમાં આવતીકાલે પીએસઆઇની ભરતી પરીક્ષા:20 હજાર ઉમેદવારો માટે પ્રશાસન સજ્જ, CCTV અને અધિકારીઓની દેખરેખ હેઠળ પરીક્ષા લેવાશે

સુરત જિલ્લામાં આવતીકાલે, 20 એપ્રિલ 2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ પરીક્ષામાં કુલ 20,700 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જાળવવા માટે સુરત શહેર પ્રશાસન અને પોલીસ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરીક્ષા કેન્દ્રો અને બેઠક વ્યવસ્થાવહીવટી સરળતા માટે સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે. શહેરની 69 પ્રતિષ્ઠિત શૈક્ષણિક બિલ્ડીંગોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કુલ 690 બ્લોકમાં બેઠક વ્યવસ્થા છે, જેમાં શિસ્ત જાળવવા માટે દરેક વર્ગખંડમાં માત્ર 30 ઉમેદવારો જ બેસશે. સમગ્ર જિલ્લાને 2 મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. (ઝોન-1: ગુરુકુલ કુમાર અને ઝોન-2: ગુરુકુલ કુમાર કાસાનગર વિદ્યાલય, કતારગામ). પરીક્ષા બે સત્રમાં લેવાશે પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા માટે 31 ખાસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. બંને સત્રો માટે આ જ રૂટ મારફતે કડક સુરક્ષા વચ્ચે પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે. દરેક રૂટ પર જવાબદાર અધિકારીઓની હાજરી અનિવાર્ય રાખવામાં આવી છે. તમામ 69 કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જપરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ 69 કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ છે અને તેનું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવશે. દરેક કેન્દ્ર પર કેન્દ્ર નિયામકો ઉપરાંત ઓબ્ઝર્વર તરીકે PI (Police Inspector) કક્ષાના અનુભવી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રોની આસપાસ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:09 pm

પંચમહાલમાં 528 EVM સીલિંગ કામગીરી શરૂ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગોધરા પોલીટેક્નિક ખાતે તૈયારીઓનો આખરી ઓપ

પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ગોધરાની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ ખાતે 528 EVM મશીનોને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. EVM મશીનોની સીલિંગની કામગીરી ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ મહત્વપૂર્ણ કામગીરીમાં 50 થી વધુ પ્રિસાઈડિંગ ઓફિસરો અને અન્ય કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે જોડાયો છે, જેઓ EVM મશીનોને સુરક્ષિત રીતે સીલ કરી રહ્યા છે. માહિતી મુજબ, ગોધરા વિભાગમાં જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 29 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ માટે તાલુકા પંચાયત માટે 305 બૂથ અને જિલ્લા પંચાયત માટે 264 બૂથ મળી કુલ 569 બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કુલ 569 બૂથ માટે જરૂરી 528 EVM મશીનોને અત્યંત સુરક્ષિત રીતે સીલ કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી આગામી સમયમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ શકે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:05 pm

‘પેમેન્ટ નહીં તો વોટ નહીં’:આદિવાસી મજૂરોનો સુગર ફેક્ટરીઓ સામે બાયો ચડાવી, ચૂંટણી બહિષ્કારનો એલ્ટીમેટમ

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આદિવાસી મજૂરોના બાકી વેતન અને શોષણનો મુદ્દો ગરમાયો છે. 'ભારત આદિવાસી સંવિધાન સેના' અને 'મજૂર અધિકાર મંચ' દ્વારા મહુવા અને વ્યારા સુગર ફેક્ટરીના મેનેજમેન્ટ સામે કડક વલણ અપનાવી આખરી એલ્ટીમેટમ જાહેર કરવામાં આવ્યું છે. મજૂર સંગઠનોએ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં વેતનની ચુકવણી નહીં થાય, તો સમગ્ર જિલ્લામાં ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે. મુખ્ય વિગતો અને આક્ષેપોસંગઠનોના જણાવ્યા અનુસાર, જિલ્લાના હજારો આદિવાસી મજૂરોએ વર્ષભર સખત પરિશ્રમ કર્યો હોવા છતાં, સીઝન પૂર્ણ થયા પછી પણ તેમને હકનું વેતન મળ્યું નથી. મજૂરોએ આક્ષેપ કર્યો છે કે ફેક્ટરી સંચાલકો દ્વારા સતત ખોટા આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ શ્રમિકોને પાયાના હક માટે રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. સંગઠનોની મુખ્ય માંગણીઓ:મહુવા અને વ્યારા સુગર ફેક્ટરીના તમામ મજૂરોને બાકી વેતન વ્યાજ સહિત તાત્કાલિક ચૂકવવામાં આવે. મજૂરોનું આર્થિક શોષણ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવે. ચૂંટણી બહિષ્કારની ચીમકીઆંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો 24 કલાકમાં સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો ડાંગમાં “પેમેન્ટ નહીં તો વોટ નહીં”ના સૂત્ર સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ અંતર્ગત ગામડાઓમાં કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ તૈયારી દર્શાવી છે. રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ડાંગ મુલાકાત પૂર્વે જ મજૂર સંગઠનોએ તેમને સીધો પડકાર ફેંક્યો છે. સંગઠનોએ માંગ કરી છે કે ગૃહમંત્રી આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી શ્રમિકોને ન્યાય અપાવે. જો વહીવટી તંત્ર કે સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જિલ્લામાં ઉભી થનારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:59 pm

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો:ભાજપના મહિલા ઉમેદવારના સંતાનોની સંખ્યા મુદ્દે હડકંપ, AAPએ પુરાવા સાથે નોંધાવ્યો વાંધો

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરતના રાજકારણમાં રસાકસીની સાથે આક્ષેપ-પ્રતિઆક્ષેપની ચરમસીમા જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 8 (કતારગામ) બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારીના સંતાનોની સંખ્યાને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવાણીએ ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગલિયારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોગંદનામામાં વિસંગતતા હોવાનો દાવોઆમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવાણીએ ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદ મુજબ, ભાજપના ઉમેદવાર વંદના ઘોઘારીએ તેમના ઉમેદવારી ફોર્મ સાથેના સોગંદનામામાં બાળકોની સંખ્યા બાબતે ગેરમાર્ગે દોર્યા છે. આક્ષેપ છે કે પ્રથમ એફિડેવિટમાં તેમણે 'ઝીરો' સંતાન દર્શાવ્યા હતા, જ્યારે હકીકતમાં તેમને ત્રણ સંતાનો છે. વિવાદ વધતા બીજી વખત રજૂ કરેલા સોગંદનામામાં પણ બે સંતાનોની વિગત આપી હોવાનું સામે આવ્યું છે, જે વાસ્તવિકતાથી અલગ હોવાનો દાવો 'આપ' દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના 3 સંતાનોના નિયમનો ભંગ?ગુજરાત સ્થાનિક સત્તામંડળના કાયદા મુજબ, જે વ્યક્તિને બેથી વધુ (ત્રણ કે તેથી વધુ) સંતાનો હોય, તે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. સાગર સવાણીએ પુરાવાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, વંદનાબેનને ત્રણ સંતાનો હોવા છતાં ખોટી વિગતો રજૂ કરીને ચૂંટણી પંચ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે આ બાબતે ચૂંટણી અધિકારી સમક્ષ કડક વાંધા અરજી દાખલ કરીને ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. ચૂંટણી અધિકારીઓ ભાજપના ઉમેદવાર પર કેમ મહેરબાન?સાગર સવાણીએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, આ જ વોર્ડમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ ત્રણ બાળકોના કારણે રદ કરવામાં આવ્યું છે. તો પછી ભાજપના ઉમેદવાર સામે પુરાવા હોવા છતાં ચૂંટણી અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે? શું કાયદો બધા માટે સમાન નથી? તેમણે વધુમાં ઉમેર્યું કે જો ચૂંટણી પંચ દ્વારા ન્યાયિક તપાસ કરીને ફોર્મ રદ કરવામાં નહીં આવે, તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. જનતા જડબાતોડ જવાબ આપશેચૂંટણી પ્રચાર દરમિયાન સાગર સવાણીએ કતારગામની જનતાને હાકલ કરતા કહ્યું કે, જે ઉમેદવાર સત્તા મેળવવા માટે ચૂંટણી પંચને છેતરી શકે, તે જનતાનું ભલું કેવી રીતે કરશે? જનતાએ ઉમેદવારની વિશ્વસનીયતા તપાસીને જ મતદાન કરવું જોઈએ. કતારગામની જનતા આ છેતરપિંડી અને અન્યાયનો જડબાતોડ જવાબ આપશે. ભાજપના ઉમેદવાર દ્વારા છડેચોક નિયમોનું ઉલ્લંઘનસાગર સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પુરાવા સાથે વાંધો રજૂ કર્યો છે. લોકશાહીમાં પારદર્શકતા હોવી જોઈએ. ભાજપના ઉમેદવાર છડેચોક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને તંત્ર તેમને છાવરી રહ્યું હોય તેવું લાગે છે. અમે ન્યાય માટે છેક સુધી લડીશું.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:48 pm

પાંડેસરામાં સાસુને જીવતા સળગાવનાર જમાઈ ઝડપાયો:સાળીની સગાઈને લઈ વિવાદ થતા જ્વલનશીલ પ્રવાહી છાંટી હત્યા નિપજાવી હતી

સુરતના પાંડેસરા વિસ્તારમાં સાળીની સગાઈના વિવાદમાં જમાઈ દ્વારા સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતા સળગાવી દીધા હતા.સાસુની હત્યા નિપજાવ્યા બાદ જમાઈ શિરડી ભાગી ગયો હતો. ત્યાંથી સુરત પરત ફરતા જ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સાળીની સગાઈના વિવાદમાં જમાઈએ સાસુની હત્યા નિપજાવીઆ ઘટના કોઈ આકસ્મિક આવેશનું પરિણામ નહોતી, પરંતુ એક પૂર્વ આયોજિત કાવતરું હતું. ગત તારીખ 15 એપ્રિલ 2026ના રોજ સવારે, જ્યારે રત્નાબેન સોનવણે પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા, ત્યારે જમાઈ મનોહર મહાજન પ્લાસ્ટિકની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી (પેટ્રોલ અથવા કેમિકલ) અને સળગતું લાકડું લઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે કાંઈ પણ વિચાર્યા વગર વૃદ્ધ સાસુ પર પ્રવાહી છાંટ્યું અને સળગતા લાકડા વડે આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં રત્નાબેન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા અને તેમની ચીસથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મનોહરનો ગુસ્સો માત્ર સાસુ પૂરતો સીમિત નહોતો. જ્યારે રત્નાબેનને બચાવવા માટે આશાબેનનો દીકરો હરીશ વચ્ચે આવ્યો, ત્યારે હત્યારા મનોહરે તેને પણ સળગાવવાનો જીવલેણ પ્રયાસ કર્યો હતો. હરીશ નસીબજોગે બચી ગયો હતો, પરંતુ રત્નાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મનોહર ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ અને દાઝેલી હાલતમાં વૃદ્ધાને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા રત્નાબેન સોનવણેનું ગત રાત્રે કરુણ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં પાંડેસરા પોલીસે આ મામલે 'હત્યાની કોશિશ'નો ગુનો નોંધ્યો હતો. પરંતુ વૃદ્ધાના અવસાન બાદ હવે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) એટલે કે 'હત્યા'નો ગુનો ઉમેરવામાં આવ્યો છે. શિરીડીથી સુરત પરત આવતા જ આરોપી મનોહર દબોચાયોપાંડેસરા પોલીસ મથકના પી.આઈ. ડી.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનો કર્યા બાદ આરોપી મનોહર પોલીસથી બચવા માટે મહારાષ્ટ્રના શિરીડી ભાગી ગયો હતો. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેના પર નજર રાખી હતી. જેવું જ મનોહરને જાણ થઈ કે તેની સાસુનું મોત થયું છે, તે સુરત પરત ફર્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં પોલીસ તેને પકડવા માટે વોચમાં જ હતી અને જેવો તે દેખાયો કે તરત જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીપી ઝેડ.આર.દેસાઈ એ જણાવ્યું હતું કે,આરોપી છૂટક મજૂરી કરતો હતો. તે માનતો હતો કે તેના ઘરકંકાસના મૂળમાં તેની સાસુ છે. જ્વલનશીલ પ્રવાહી ક્યાંથી લાવ્યો તે બાબતે તેણે અત્યાર સુધી માહિતી છુપાવી છે, પરંતુ કેટલીક વિગતો આપી છે જેને અમે વેરીફાય કરી રહ્યા છીએ. લોકેશન અને કમ્યુનિકેશનના આધારે વધુ વિગતો ટૂંક સમયમાં જાણવા મળશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:48 pm

હળવદમાં સગીરાનો આપઘાત:ભાઈએ મોબાઈલ મોડી રાત સુધી જોવાનો ઠપકો આપતા લીધું પગલું

હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ ફોન જોતી સગીરાએ ભાઈના ઠપકા બાદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના 5 એપ્રિલના રોજ બની હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પંકજભાઈ પટેલની વાડીએ મજૂરી કામ કરતા પ્રતાપસિંગ નવલસિંહ ચૌહાણ (44)ની 17 વર્ષીય પુત્રી સીમાબેન પ્રતાપસિંહ ચૌહાણે વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તેને તાત્કાલિક ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સગીરા મોડી રાત સુધી મોબાઈલ જોતી હોવાથી તેના ભાઈ પવને ઠપકો આપ્યો હતો, જે બાબત તેને લાગી આવતા તેણે આ પગલું ભર્યું હતું. બીજી એક ઘટનામાં, હળવદના માનસર ગામે આવેલા જેટકોના સબસ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઇન ઇન્સ્પેક્ટરે થપ્પડ મારી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીના ઉમટાઉનશીપના રહેવાસી અને હાલ હળવદના સરા રોડ પર હરીનગર સોસાયટીમાં રહેતા જેટકોના કાર્યપાલક ઇજનેર નીતિનભાઈ જયસુખભાઈ લોરીયા (33)એ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી હસમુખભાઈ ધાંગધ્રાના વડવાળી શેરી, સોની તલાવડીના રહેવાસી છે અને માનસર ગામે 400 KV જેટકોના લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ, આરોપી અગાઉ નોકરીમાં ગેરહાજર રહ્યા હતા, ત્યારે ફરિયાદીએ હાજરી માસ્ટરમાં તેમની હાજરી સામે લીટો માર્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ બોલાચાલી કરી, ઝપાઝપી કરી, અભદ્ર ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાલ પર થપ્પડ મારી હતી. તેણે અર્થીંગ ફાઇબર રોડનો દંડો લઈને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:47 pm

બોટાદમાં માથાભારે ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી:ફિરોઝ કાઝી સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ, 3ની ધરપકડ

બોટાદ પોલીસે શહેરમાં સક્રિય માથાભારે ગેંગ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ ગેંગના છ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે મોટો કાઝી, સુફિયાન ઉર્ફે સિરો ડોન, શબ્બીર કુરેશી, તૌસીફ જાંગડ, નવાઝ ઉર્ફે નાના કાઝી અને રમઝાન ઉર્ફે રીયાઝ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. આ ગેંગ મારામારી, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. તેમના સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. બોટાદ પોલીસે છ આરોપીઓ પૈકી ત્રણ, શબ્બીર કુરેશી, નવાઝ કાઝી અને રમઝાન ઉર્ફે રીયાઝની ધરપકડ કરી છે. તૌસીફ અને ફિરોઝ અન્ય ગુનામાં જેલમાં છે, જ્યારે સુફિયાનને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ અંગેની માહિતી બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:46 pm

મોતરૂપી સ્પીડબ્રેકર અને તંત્રની ઘોર બેદરકારી.:જૂનાગઢના ચોબારી ફાટક પાસે ‘મોતનું સ્પીડબ્રેકર’: ટ્રેક્ટર પરથી ફંગોળાયેલો મજૂર ટાયર નીચે આવતા માંડ બચ્યો, અકસ્માતોના ભયાનક CCTV વાયરલ, તંત્ર ઘોર નિંદ્રામાં

જૂનાગઢ શહેરના મધુરમથી ઝાંઝરડા રોડ તરફ જતો ચોબારી ફાટકનો માર્ગ હાલ વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના નિંભર તંત્ર દ્વારા આડેધડ રીતે રસ્તા પર એક મસમોટું સ્પીડબ્રેકર બનાવી દેવામાં આવ્યું છે, જે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યું છે. આ સ્પીડબ્રેકર એટલું ભયાનક છે કે દૂરથી આવતા વાહનચાલકોને ત્યાં સ્પીડબ્રેકર હોવાનો કોઈ ખ્યાલ આવતો નથી. જેના કારણે પૂરપાટ ઝડપે આવતા વાહનો હવામાં ફંગોળાય છે અને જીવલેણ અકસ્માતો સર્જાય છે.આ રોડ પરથી રોજ હજારો વાહનો અને સ્કૂલના બાળકો ભરેલા વાહનો પસાર થાય છે, જે તમામનો જીવ હાલ જોખમમાં મૂકાયો છે. તાજેતરમાં જ આ સ્થળ પરથી એક હચમચાવી નાખનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર આ સ્પીડબ્રેકર પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક આવેલા જમ્પના કારણે ટ્રેક્ટરમાં બેઠેલો એક મજૂર રોડ પર નીચે પછડાયો હતો. આ મજૂર ટ્રેક્ટરના તોતિંગ ટાયરની બિલકુલ નીચે આવી ગયો હતો, પરંતુ નસીબજોગે તે આંખના પલકારે ટાયરથી બચી ગયો અને તુરંત ઉભો થઈને રોડની બાજુમાં ખસી ગયો હતો. આ દ્રશ્યો જોઈને કોઈપણ વ્યક્તિના રુવાડા ઉભા થઈ જાય તેમ છે. જો મજૂર થોડો પણ મોડો પડ્યો હોત તો ત્યાં જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોત. સ્થાનિક દુકાનદાર મુકેશભાઈ પંડિતે જણાવ્યું હતું કે અહીં રોજ ચારથી પાંચ અકસ્માતો સર્જાય છે. આ સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા કે કોઈપણ પ્રકારની સાવચેતીની નિશાની મારવામાં આવી નથી, જેના કારણે રાત્રિના સમયે કે દિવસે પૂર ઝડપે આવતા વાહનો અહીં ઉછળે છે. અગાઉ પણ અહીં એક વૃદ્ધ દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલા વૃદ્ધા નીચે પછડાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. બે યુવકોએ તો ચાર મહિના પહેલા જ અહીં અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. છતાં પણ તંત્ર આ મામલે મૌન સેવીને બેઠું છે, જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક વાહનચાલકો અને રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે નેતાઓ અને અધિકારીઓ માત્ર હોસ્પિટલે ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ અકસ્માત ન થાય તે માટેની આગોતરી કામગીરી કરવામાં આવતી નથી. વાહનચાલક જગદીશભાઈ જણાવે છે કે અધિકારીઓ પોતે પણ આ જ રસ્તા પરથી પસાર થાય છે, છતાં તેમને આ જોખમી સ્પીડબ્રેકર દેખાતું નથી તે આશ્ચર્યની વાત છે. સ્પીડબ્રેકર પર પટ્ટા ન હોવાથી વાહનચાલકો સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસે છે અને ફિલ્મમાં સ્ટન્ટ થતા હોય તેવા દ્રશ્યો રોજ સર્જાય છે. જૂનાગઢ મહાનગરપાલિકાની આ અણઆવડત હવે લોકોના જીવ પર બની છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી નીતિ ધરાવતું તંત્ર હવે જાગશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. સ્થાનિકોની એક જ માંગ છે કે કાં તો આ સ્પીડબ્રેકરને સદંતર દૂર કરવામાં આવે અથવા તો તેના પર તાત્કાલિક રીફ્લેક્ટર અને સફેદ પટ્ટા લગાવવામાં આવે જેથી વાહનચાલકોને અગાઉથી ખબર પડે. જો વહેલી તકે આ મામલે નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અહીં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સંપૂર્ણ જવાબદારી મનપા તંત્રની રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:45 pm

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સેગવામાં સભા સંબોધશે:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચાર માટે રવિવારે ભાજપની જાહેરસભા, તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ યોજાયું

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા રવિવારે બપોરે 3 કલાકે સેગવા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મતદારોને સંબોધિત કરશે. આ સભા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે યોજાઈ રહી છે. જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મતદારોને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરશે. ચૂંટણી પૂર્વે આ સભાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તે મતદારોને સીધો સંદેશ આપશે. સભાની તૈયારીઓના ભાગરૂપે ગુંદલાવ હેલિપેડથી સેગવા જાહેરસભા સ્થળ સુધી રિહર્સલ યોજવામાં આવી હતી. આ રિહર્સલ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, DySP HQ ભાર્ગવ પંડિયા, DySP SDPO એ.કે. વર્મા સહિત પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને DGVCLના અધિકારીઓએ પણ આયોજનની સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રીના કાફલા દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. રિહર્સલ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય તમામ નાની બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:38 pm

દમણમાં બોમ્બે ડોક બ્લાસ્ટ શહીદોની યાદમાં પરેડ:ફાયર સેફ્ટી વીક અંતર્ગત જાગૃતિનો સંદેશ ફેલાવાયો

સંઘપ્રદેશ દમણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા નાની દમણ ખાતે 'ફાયર સેફ્ટી અવેરનેસ પરેડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડનો મુખ્ય હેતુ નાગરિકોમાં આગની દુર્ઘટનાઓ સામે રક્ષણ મેળવવા અંગે જાગૃતિ લાવવાનો હતો. ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર, 20મી એપ્રિલ સુધી દેશભરમાં ઉજવાઈ રહેલા 'ફાયર સર્વિસ વીક'ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ જાગૃતિ પરેડ નાની દમણના સર્કિટ હાઉસથી શરૂ થઈને દિલીપ નગર ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. તેમાં પોલીસ બેન્ડ, NCC કેડેટ્સ, ઉદ્યોગપતિઓ, DIA અને હોટલ એસોસિએશનના સભ્યો, સરકારી કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી જવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, 'ફાયર સર્વિસ વીક' 14 એપ્રિલ 1944ના રોજ થયેલા બોમ્બે ડોક બ્લાસ્ટમાં શહીદ થયેલા જવાનોની યાદમાં ઉજવવામાં આવે છે. તેમની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે આ સપ્તાહની ઉજવણી થાય છે. આ વર્ષે 'સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ એન્ડ ફાયર સેફ્ટી અવેર સોસાયટી - ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન'ના સૂત્ર સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. 18 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે નાની દમણના સરકારી સર્કિટ હાઉસથી આ પરેડનો પ્રારંભ થયો હતો. પરેડમાં જોડાયેલા લોકોએ હાથમાં 'ફાયર ડિસ્ટ્રોયસ, પ્રિવેન્ટ ડિસ્ટ્રક્શન' જેવા પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને સાવચેત કર્યા હતા. આ કૂચ દિલીપ નગર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી.એક અધિકારીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું કે, આગ કેટલી ખતરનાક બની શકે છે અને તેના પર કેવી રીતે કાબૂ મેળવવો તે સમજાવવા માટે માત્ર પરેડ જ નહીં, પરંતુ સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. લોકોમાં સુરક્ષાના પગલાં અંગે સભાનતા વધે તે જ પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:36 pm

જામનગરમાં ચૂંટણી પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:DYSP ઝાલા સહિત અધિકારીઓએ શંકરટેકરી, રજા નગરમાં નિરીક્ષણ કર્યું

જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે હેતુથી શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસને વ્યૂહાત્મક આયોજન કર્યું છે. આ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 15 માં આવેલા શંકર ટેકરી અને રજા નગર સહિતના વિસ્તારોમાં પોલીસ કાફલાએ નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારો ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય છે. આ ફૂટ પેટ્રોલિંગમાં DYSP જયવીરસિંહ ઝાલા, સીટી-સી ડિવિઝન PI નિખિલ ડાભી અને LCB PI ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. તેમની સાથે LCB, સીટી-સી ડિવિઝન અને સ્થાનિક પોલીસ સ્ટાફના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસ અધિકારીઓએ વિસ્તારના મુખ્ય માર્ગો અને સાંકડી ગલીઓમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવી, આચારસંહિતાનું પાલન કરાવવું અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવાનો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ચૂંટણીમાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:34 pm

ચોટીલાની બે હોટલ સામે કડક કાર્યવાહી:દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું સાબિત થતાં એક વર્ષ માટે સીલ, સરકારે કબજો લીધો

ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ બે હોટલ સામે કડક કાર્યવાહી કરી છે. સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું સાબિત થતાં બંને હોટલને એક વર્ષ માટે સીલ કરવાનો અને તેનો કબજો સરકાર હસ્તક લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર મકવાણાને આ અંગે વિશ્વસનીય માહિતી મળી હતી. જેના આધારે ખાનગી રાહે અધિકૃત ટીમ અને ગ્રાહકો મોકલી અચાનક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે ચોટીલા શહેરમાં નેશનલ હાઇવે 47 પર આવેલી આ બંને હોટલમાં ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી હતી. દેવા ભીખા આલની માલિકીની/સંચાલિત સિટી પેલેસ હોટલ અને સંજય અમુ ડાભીની માલિકીની/સંચાલિત બાલાજી હોટલમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હતી. આ પ્રવૃત્તિ હેઠળ એક વ્યક્તિ દીઠ રૂ. 1,000 વસૂલવામાં આવતા હતા. હોટલના માલિકો/મેનેજરો આ પ્રવૃત્તિથી વાકેફ હોવા છતાં મૌન સહમતિ આપી હતી અથવા પૂરતી દેખરેખ રાખી ન હતી, જેના કારણે આ હોટલો અનૈતિક વેપારનું કેન્દ્ર બની હતી. આ મામલે, ગત તારીખ 30 જાન્યુઆરી, 2026ના રોજ સિટી પેલેસ હોટલના માલિક દેવા આલ અને બાલાજી હોટલના માલિક સંજય ડાભીને અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ, 1956ની કલમ 18(1) હેઠળ વેશ્યાલય બંધ કરવા અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ નાયબ કલેક્ટર મકવાણાની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, બંને હોટલના માલિકોએ દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું કબૂલ્યું હતું. જે સાબિત થતાં, તારીખ 30 માર્ચ, 2026ના રોજ અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ, 1956ની કલમ 18 હેઠળ બંને હોટલને એક વર્ષની મુદત માટે ક્લોઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો. વધુમાં, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલાને આ બંને હોટલો તાત્કાલિક ક્લોઝ કરાવી તેનો કબજો સરકાર હસ્તક સંભાળી લઈ રિપોર્ટ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:32 pm

વલસાડમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ:ખાનગી શાળાઓમાં ધોરણ 1 માટે 3108 અરજીઓ

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 25 ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 3,108 વાલીઓએ ઓનલાઈન અરજી કરી છે, જે બાળકોને ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે હેતુથી આ નિયમ અમલમાં મુકાયો છે. વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર દ્વારા સીધી શાળાઓને ચૂકવવામાં આવશે, જેનાથી વાલીઓને મોંઘી ફીના બોજમાંથી મોટી રાહત મળશે. માત્ર ફી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના અન્ય શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા માટે પણ સરકાર સજ્જ છે. વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને નોટબુક જેવી પાયાની જરૂરિયાતો માટે સરકાર દ્વારા તબક્કાવાર આર્થિક સહાય આપવામાં આવશે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 3,108 અરજીઓ મળી છે. આ અરજીઓની ચકાસણી બાદ મેરિટ અને નિયમોને આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શાળાઓની ફાળવણી પારદર્શક પદ્ધતિથી ઓનલાઈન ડ્રો દ્વારા કરવામાં આવશે. આ યોજનાનો સીધો લાભ જિલ્લાના છેવાડાના બાળકો સુધી પહોંચાડવા શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:24 pm

ખારાઘોડા રણમાં 15 લાખ ટન મીઠું અટવાયું:ડીઝલની અછતથી પરિવહન અને સંગ્રહમાં મુશ્કેલી, વેપારીઓ કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા

કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠા ઉત્પાદનનો ઉદ્યોગ રાજ્ય અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હાલમાં, ખારાઘોડા રણમાં આશરે 15 લાખ મેટ્રિક ટન તૈયાર મીઠું પડ્યું છે, પરંતુ ડીઝલની ગંભીર અછતને કારણે તેના પરિવહન અને સંગ્રહમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિને કારણે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો અગરિયાઓ, મજૂરો અને વેપારીઓ ચિંતિત છે. મીઠાના ઉત્પાદન પછી એપ્રિલ-મે મહિનામાં તેનું પરિવહન અને સંગ્રહ અત્યંત સંવેદનશીલ તબક્કો હોય છે. રણમાં તૈયાર થયેલા મીઠાને સમયસર ખારાઘોડા ખાતે સંગ્રહિત કરવું અનિવાર્ય છે. આ કામગીરી માટે દરરોજ અંદાજે 300 ટ્રકો અને 50 જેટલી હિટાચી મશીનો સતત કાર્યરત હોય છે, જે સંપૂર્ણપણે ડીઝલ પર નિર્ભર છે. પાટડી-ખારાઘોડા વિસ્તારમાં ડીઝલ સપ્લાય કરતી પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને છેલ્લા કેટલાક સમયથી ડીઝલનો પૂરતો અને સમયસર પુરવઠો મળી રહ્યો નથી. આના પરિણામે ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે, જેની સીધી અને નકારાત્મક અસર મીઠા ઉદ્યોગની કામગીરી પર પડી રહી છે. ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પ્રમુખ હિંગોર રબારીએ જણાવ્યું હતું કે, ડીઝલની અછતને કારણે તૈયાર મીઠું સમયસર ખેંચી શકાતું નથી. જો વરસાદ આવે તો રણમાં રહેલું મીઠું સંપૂર્ણપણે બગડી જવાનો ભય છે. આનાથી અગરિયાઓની આખા વર્ષની મહેનત અને આવક પર પાણી ફરી વળશે. આ પરિસ્થિતિને કારણે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો મજૂરો અને તેમના પરિવારોના રોજગાર પર સીધી અસર પડી રહી છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ખારાઘોડા ખાતે મીઠાના સંગ્રહ અને વિતરણમાં વિલંબ થવાથી રાજ્ય અને દેશવ્યાપી સપ્લાય ચેઇન પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. મીઠું એક આવશ્યક ખાદ્ય પદાર્થ હોવાથી તેની ઉપલબ્ધતા પર લાંબા ગાળે અસર થઈ શકે છે, જે જાહેર હિત માટે યોગ્ય નથી. આથી, સંબંધિત પેટ્રોલિયમ કંપનીઓ અને ડીલરોને તાત્કાલિક સૂચનાઓ આપીને ડીઝલનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા અને મીઠા ઉદ્યોગને પ્રાથમિકતા આપવા વિનંતી કરવામાં આવી છે. જરૂર પડ્યે વિશેષ ક્વોટા ફાળવવા પણ વિચારણા કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:22 pm

વિશ્વ વારસા દિવસે ભરૂચમાં રુંગટા વિદ્યાભવનની વૉક:વિદ્યાર્થીઓએ શહેરના ઐતિહાસિક વારસા વિશે જાણકારી મેળવી

વિશ્વ વારસા દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં રુંગટા વિદ્યાભવન દ્વારા હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્થાનિક ઐતિહાસિક વારસાની ઓળખ કરાવવાનો અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. હેરિટેજ વૉક દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં જામા મસ્જિદ, સરદાર મંઝિલ, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, આર.એસ. દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ ફોર્ટ વોલ જેવા મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ થાય છે. દરેક સ્થળે વિદ્યાર્થીઓને તેના ઇતિહાસ, સ્થાપત્ય શૈલી અને સામાજિક મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ નોંધપોથીમાં માહિતી નોંધવાની પ્રવૃત્તિ પણ કરી હતી. આ પ્રયાસ દ્વારા અભ્યાસને પ્રાયોગિક અનુભવ સાથે જોડવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખી શકે. શાળા પરિસરથી શરૂ થયેલી આ પદયાત્રા દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને નવી માહિતી મેળવવાની જિજ્ઞાસા સ્પષ્ટપણે જોવા મળી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસાને ઓળખવાની અને તેના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:18 pm

મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર દરિયાઈ સરહદે સઘન ચેકિંગ:પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા માટે ફૂટ, બોટ પેટ્રોલિંગ

પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પગલું લેવાયું છે. સુરક્ષા દ્રષ્ટિએ, કોઈપણ આતંકવાદી ઘટના પછીના હાઈ-એલર્ટ સમયગાળા કરતાં 'સામાન્ય' ગણાતો સમય વધુ મહત્ત્વનો હોય છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. આ ઓપરેશન એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષાના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયું હતું. 17 એપ્રિલ, 2026ના રોજ જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને પી.એસ.આઈ. જી.એમ. બોપલિયા સહિતના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત રોઝી બંદર, નવા બંદર, બેડી બંદર, ખારા બેરાજા અને માધાપર ભૂંગા દરિયાઈ વિસ્તાર જેવા મહત્ત્વના સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન, મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો બનાવીને દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ અને જમીન માર્ગે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. શંકાસ્પદ વ્યક્તિઓ અને બોટોનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત, ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ, ફિશિંગ સેન્ટરો, મહત્ત્વના વિસ્તારો (વાઈટલ એરિયા) અને અવાવરુ જગ્યાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સરાહનીય કામગીરીનો મુખ્ય હેતુ દેશદ્રોહી અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા તેમજ દરિયાઈ સીમાઓ પરથી થતી ઘૂસણખોરી અટકાવવાનો છે, જેથી કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિને ટાળી શકાય.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:14 pm

વંથલીમાં ભૂમાફિયાઓ બેફાન, તંત્ર ઘોર નિંદ્રામાં:મોટા કાજલીયાળીમાં ગેરકાયદે ખનન મામલે તંત્ર પર ગંભીર આક્ષેપ, અધિકારીઓનો સરપંચ સામે એક્શન લેવાની ધમકી આપ્યાનો ઓડિયો વાઈરલ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળી ગામમાં ગૌચરની જમીન પર ચાલી રહેલા ગેરકાયદે ખનન મામલે વહીવટી તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. જાગૃત સરપંચ પ્રતિનિધિ સંજયભાઈ બોરીચાએ જ્યારે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, ત્યારે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રએ સહકાર આપવાને બદલે ઉલટું સરપંચને જ એક્શન લેવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાઇરલ થયો છે. તંત્રની ઉદાસીનતા અને સરપંચ પર દબાણગામના ગૌચરમાં કોઈપણ મંજૂરી વિના મોટા પાયે થઈ રહેલા માટી અને રેતીના ખનનની જાણ થતા સરપંચ સંજય બોરીચાએ સતત ચાર-પાંચ દિવસ સુધી ખાણ-ખનીજ વિભાગ અને પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. અંતે જ્યારે તેમણે પ્રાંત અધિકારી સાથે વાત કરી, ત્યારે અધિકારીએ સ્થળ પર આવવાને બદલે સરપંચને જ જીવના જોખમે વાહનો પકડી રાખવાની સૂચના આપી હતી. ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તાલુકા વિકાસ અધિકારી (TDO) ઓડેદરાએ સરપંચને ફોન કરી ધમકાવ્યા હતા કે, જો ખનન કરતા વાહનો ત્યાંથી ભાગી જશે, તો તમારી સામે એક્શન લેવામાં આવશે. સરપંચે વારંવાર પોલીસ પ્રોટેક્શન માંગવા છતાં તંત્રએ પોતાની જવાબદારી જનપ્રતિનિધિ પર ઢોળી દીધી હતી. સરપંચના ગંભીર આક્ષેપોસરપંચ સંજય બોરીચાએ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, વહીવટી તંત્ર કાં તો ભૂમાફિયાઓથી ડરે છે અથવા તેમની સાથે આર્થિક સાંઠગાંઠ ધરાવે છે. ખનીજ ચોરોને ભાગી છૂટવા માટે અધિકારીઓ દ્વારા પૂરતો સમય આપવામાં આવે છે. પંચાયત પાસે માફિયાઓ સામે લડવા માટે કોઈ સત્તા કે સાધન નથી, છતાં અધિકારીઓ તેમને બલિનો બકરો બનાવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીનો બચાવબીજી તરફ, તાલુકા વિકાસ અધિકારીએ પંચાયત ધારાની જોગવાઈઓનો હવાલો આપી બચાવ કર્યો હતો કે ગામની મિલકતની જાળવણી કરવાની પ્રાથમિક જવાબદારી પંચાયતની છે, તેથી સરપંચને વાહનોનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી જમીનની લૂંટ રોકવા માટે અધિકારીઓ અને પોલીસ તંત્રના નિષ્ક્રિય અભિગમને કારણે લોકશાહીમાં પ્રામાણિક જનપ્રતિનિધિઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. હવે આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:09 pm

ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો:ગોકુલધામ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમીનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટના સંતકબીર રોડ પર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં અશોક રમેશભાઈ પલાણ (ઉ.વ.38) નામના યુવાને આજે વહેલી સવારે ગોકુલધામ આવાસ કવાર્ટરમાં રહેતી તેની પ્રેમિકા રેશ્માબેનના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અશોક બે બહેનનો એકનો એક મોટો ભાઈ હતો. તેના અગાઉ લગ્ન થયા બાદ 10 વર્ષ પહેલા છુટાછેડા થઈ ગયા હતાં. તેને સંતાનમાં એક પુત્રી હોવાનું અને મૃતક છુટક મજુરી કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતક અશોકને 6 વર્ષથી રેશ્મા સાથે પ્રેમ સંબંધ હતો. રેશ્માના પણ અગાઉ છુટાછેડા થઈ ગયા હતાં. અશોક અવારનવાર પ્રેમિકા રેશ્માના ઘરે આવતો જતો હતો. દરમિયાન રેશ્માને અન્ય યુવકો સાથે પણ સંબંધ હોવાનું જણાઈ આવતાં અશોકને રેશ્મા ફસાવી દેશે તેવી શંકા ઉપજતાં તેણે પ્રેમિકાના ઘરે જ જીવન ટૂંકાવી લીધાનું સામે આવતા માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો મહેશ્ર્વર સોસાયટીમાં આવેલા ભવાની ચોકમાં ઈમરાનભાઈ આરીફભાઈ સોલંકી (ઉ.વ.49) 11 વાગ્યા આસપાસ જયુબેલી બગીચામાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઈમરાનભાઈ સોલંકી ફ્રુટનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. 6 વર્ષ પહેલા ધંધા માટે લીધેલા રૂપિયા 2 લાખના 20 લાખ ચુકવી દીધા હોવા છતાં અફઝલ, નવાઝ, મોહસીન અને શહબાઝ નામના શખ્સો વધુ રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપતાં હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત રાજકોટના જંગલેશ્ર્વરમાં આવેલા હુસેની ચોકમાં રહેતાં હલુબેન અબ્દુલભાઈ ચાવડા (ઉ.વ.70) બપોરના 1 વાગ્યા આસપાસ મોચી બજારમાં રહેતાં તેમના બહેન રોશનબેનના ઘરે જતાં હતાં ત્યારે પારેવડી ચોક પાસે રોડ ક્રોસ કરતી વખતે એસ.ટી.બસના ચાલકે ઠોકરે ચડાવ્યા હતાં જેમાં એસ.ટી.બસનું વ્હીલ માથે ફરી વળતાં વૃધ્ધાને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કેસમાં આરોપીની માનવતા ધોરણની જામીન અરજી નામંજુર ફરીયાદી તથા તેના ભાઈ હાર્મીશ બંને કોઠારીયા મેનઈ રોડ ઉપર આવેલ ખોડીયાર હોટલે બેઠક ધરાવતા હતા આ ખોડીયાર હોટલ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં આ કામના આરોપીની ફાઈનાન્સની ઓફીસ હોય કોમ્પલેક્ષના પાર્કીંગમાં આરોપીએ ડેલો બનાવ્યો ત્યાં ફરીયાદી તથા તેનો ભાઈ ચાર-પાંચ દિવસ પહેલા ઉભા હતા જેથી આરોપીએ ત્યાં નહી ઉભા રહેવાનું કહી ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા તેના ભાઈ સાથે આજ બાબતે ઝઘડો કરી છરીથી ફરીયાદીના ભાઈ હાર્મીશ હંસરાજભાઈ ગજેરા (ઉ.વ.28) ઉપર હુમલો કરતા હાર્મીશનું મોત થયું હતું. આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને બાદમાં આરોપીએ પિતાની મેડીકલ સારવાર માટે તેમજ નાણાકીય વ્યવસ્થા કરવા માટે મેડીકલ કાગળો રજૂ કરી 30 દિવસના માનવતાના ધોરણે જામીન ઉપર મુકત કરવા કરેલ રજુઆતો સામે સ્પેશ્યલ પી.પી. તથા મુળ ફરીયાદ પક્ષે રજુઆત કરવામાં આવી કે અરજદારની હાજરી વગર જો ખરેખર તેના પિતાને બીમારી હોય તો તેના બીજા પુત્ર અને પરીવારજનો સારવાર કરાવી શકે છે. ઉપરાંત જેની બીમારીનું કારણ આગળ ધરી માનવતાના જામીન માગવામાં આવેલ છે તે પોતાના ધંધાના સ્થળે કામ કરી રહેલ હોવાનો વીડિયો છે. ફોટોગ્રાફસ છે. તમામ દલીલો ધ્યાને લઈ કોર્ટે માનવતાના ધોરણે 30 દિવસ જામીન ઉપર મુક્ત થવાની આરોપીની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:08 pm

પશુબલી માગતા પુત્રની હત્યાની તાંત્રિક મહિલા પર આશંકા:ધ્રાંગધ્રામાં ક્રબસ્તાનમાંથી 4 વર્ષીય બાળકની લાશ કઢાઈ, ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખસેડાઈ

ધ્રાંગધ્રા શહેરમાં એક પરિવારને પુત્ર ન થતાં તાંત્રિક મહિલાનો સંપર્ક કર્યો હતો. જે બાદ પરિવારને ત્યા પુત્રની પાપ્તિ થઈ હતી. ત્યારે ગત 4 એપ્રિલના રોજ તાંત્રિક મહિલાના ઘરેથી આ પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ હાલ કબ્રસ્તાનમાં દફનાવાયેલા ચાર વર્ષના બાળકનો મૃતદેહ હત્યાની આશંકાને પગલે બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે. આ ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ધ્રાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારે પુત્ર પ્રાપ્તિ માટે એક તાંત્રિક મહિલાનો સંપર્ક કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા ગણાવતી હતી અને તેણે પુત્ર પ્રાપ્તિ માટે એક બાધા આપી હતી. આ પછી પરિવારમાં આશરે 4 વર્ષ પહેલા પુત્રનો જન્મ થયો હતો. આ દરમિયાન ગત 4 એપ્રિલના રોજ કથિત તાંત્રિક મહિલાએ બાધા પૂર્ણ કરવા માટે પશુબલિની માંગણી કરી હતી. આ મુદ્દે તાંત્રિક મહિલા અને બાળકની માતા વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ચાર વર્ષનો બાળક પોતાના ઘર નજીક રમતો હતો ત્યારે અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને અંતે બાળક કથિત તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને ધ્રાંગધ્રા સ્થિત કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનાના આશરે બાર દિવસ બાદ સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના PI ડી.એ.ક્રિશ્ચિયનના જણાવ્યા અનુસાર, ઘટના ગત 4 એપ્રિલના રોજ બની હતી. મૃતક બાળકના પરિવારે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની કોઈ કાર્યવાહી ન કરી હોવાથી પોલીસને ઘટનાની જાણ થઈ ન હતી. જોકે, બાર દિવસ બાદ જાણ થતાં પોલીસે એ.ડી. (એક્સિડેન્ટલ ડેથ) દાખલ કરી, દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી એફ.એસ.એલ. માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 7:58 pm

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે જોરાવરનગરમાં સઘન ચેકિંગ:મેક્સન સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન તપાસ

જોરાવરનગર પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ASP કરણકુમાર પન્નાની સૂચનાથી કરવામાં આવી હતી. ચેકિંગ ડ્રાઇવ જોરાવરનગરના તારામણી કોમ્પ્લેક્સ અને મેક્સન સર્કલ જેવા વિવિધ વિસ્તારોમાં યોજાઈ હતી. પોલીસ કાફલા દ્વારા શંકાસ્પદ વાહનો, બ્લેક ફિલ્મવાળા વાહનો, નંબર પ્લેટ વગરની કાર અને સ્કૂટર જેવા વાહનોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગેરકાયદેસર હથિયારો અંગે પણ વિશેષ ધ્યાન રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી પોલીસે આ પગલું ભર્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 7:58 pm

ચૈતર વસાવાના હાઇડ્રો પ્રોજેક્ટ મુદ્દે આકરા પ્રહાર:નસવાડીના રાયપુરની સભા બાદ કહ્યું- ધારીયા, પાળિયા શણગાર માટે નથી; જરૂર પડ્યે ગાંધીનગર જઈશું

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઇડ્રો પ્રોજેક્ટ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીઓ પાસે રહેલા ધારીયા, પાળિયા અને તીર કામઠા માત્ર શણગાર માટે નથી, જરૂર પડ્યે રોડ પર ઉતરતા અને ગાંધીનગર જતા પણ આવડે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ આ જનસભાને સંબોધી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ ત્રીજો મોરચો નહીં ચાલે તેમ કહેતા હતા, પરંતુ આજે આમ આદમી પાર્ટીના ૬૫૦૦ ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ અમારી સેમી ફાઇનલ છે અને ૨૦૨૭માં ફાઇનલ પણ સારી રીતે લડીશું. વસાવાએ હાઇડ્રો પ્રોજેક્ટ અંગે વધુમાં જણાવ્યું કે, પ્રોજેક્ટ માટે જમીનો લેવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. જો સરકાર આ જ પ્રકારે આદિવાસીઓની જમીનો હાઇડ્રો પ્રોજેક્ટના નામે લેવાનો પ્રયાસ કરશે, તો અમે લડતા રહીશું. તેમણે ચેતવણી આપી કે, અમારા ઘરોમાં રાખેલા ધારીયા, પાળિયા અને તીર કામઠા શણગાર માટે નથી. જમીનો બચાવવા માટે ગાંધીનગર જઈને પણ આંદોલન કરીશું. ચૈતર વસાવાએ ભાજપ પર લોકશાહીનું હનન કરવાનો અને લોકોના અધિકારો છીનવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભાજપના લોકો ઉમેદવારોને ડરાવી, ધમકાવી, અપહરણ કરી અને લોભ-લાલચ આપીને ફોર્મ ખેંચાવી બિનહરીફ ચૂંટણીઓ કરાવી રહ્યા છે. તેમણે પોલીસ અધિકારીઓને પણ સંદેશ આપ્યો કે, જો તેમને રાજકારણનો બહુ શોખ હોય, તો વર્દી ઉતારી, રાજીનામું આપી, ખેસ પહેરીને મેદાનમાં આવે. ત્યારે તેમને ખબર પડશે કે કેટલા વિશે સો થાય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 7:54 pm

રાંદેર-અડાજણમાં 20 એપ્રિલના એક દિવસનો પાણી કાપ:હજારો પરિવારને વહેલી સવારના પાણી ભરી લેવા તંત્રની અપીલ, જુઓ અસરગ્રસ્ત વિસ્તારોની યાદી

સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં પાણીના પ્રેશરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હાઈડ્રોલિક વિભાગ દ્વારા આગામી 20 એપ્રિલ 2026, સોમવારના રોજ મેન્ટેનન્સની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે. જોગાણીનગર જળવિતરણ મથક ખાતે નવી લાઈન જોડવા અને વાલ્વ ફિટિંગના કાર્યને લીધે રાંદેર અને અડાજણ વિસ્તારના હજારો પરિવારોને સોમવારની સાંજે પાણીના પુરવઠા વગર રહેવું પડશે. કામગીરીની ટેકનિકલ વિગતોઅડાજણ-રાંદેર વિસ્તારમાં પાણીના વિતરણને વધુ સુદ્રઢ બનાવવા માટે 1500 મી.મી. વ્યાસની મુખ્ય લાઈન પર નવા વાલ્વ ફિટ કરવામાં આવશે. આ સાથે જ ESR-3 અને ESR-4 ઓવરહેડ ટાંકીઓની રાઈઝિંગ મેઈન લાઈનને મુખ્ય કોમનહેડર સાથે જોડવામાં આવશે. આ સુધારા બાદ ભવિષ્યમાં પાંચ જેટલા DMA વિસ્તારોમાં પાણીના પ્રેશરની સમસ્યા હલ થશે. અસરગ્રસ્ત વિસ્તારોની યાદીસોમવારે સાંજે 5:30 થી 8:50 સુધી નીચે મુજબના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાંદેર ગામતળ અને જૂની સોસાયટીઓમાં પણ પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું રહેવાની શક્યતા છે. પાણીનો બિનજરૂરી વપરાશ ટાળવા તંત્રની અપીલહાઈડ્રોલિક વિભાગના જણાવ્યા મુજબ, સોમવાર રાત સુધીમાં કામગીરી પૂર્ણ કરી મંગળવાર સવારથી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરાશે. નાગરિકોએ સોમવારે સવારે આવતા પાણીનો પૂરતો સંગ્રહ કરી લેવો. પાણીનો બિનજરૂરી વપરાશ ટાળી તંત્રને સહકાર આપવો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 7:52 pm

આવતીકાલે 1.10 લાખ ઉમેદવારો પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આપશે:અમદાવાદ-સુરત સહિત રાજ્યભરના કેન્દ્રો પર કડક બંદોબસ્ત; CCTV, GPS અને Facial Recognitionથી નજર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાનાર છે, જેમાં કુલ 1,10,680 ઉમેદવારો ભાગ લેશે. રાજ્યભરમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી સતત મોનિટરિંગપરીક્ષા સુચારૂ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. હજારોની સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે, સાથે જ GPS ટ્રેકિંગ અને Facial Recognition ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેરરીતિ રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહીપરીક્ષા દરમિયાન ઉમેદવારોની બાયોમેટ્રિક ચકાસણી પણ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં યોજાઈ રહી છે. ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અને જરૂરી દસ્તાવેજો સાથે લાવવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 7:44 pm

ગાંધીનગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી:સેક્ટર 15માં દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી છ મહિલા બુટલેગરોને ઝડપી પાડી

ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સેક્ટર-7 પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સેક્ટર-15ના ફતેપુરા વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડી લાઈવ ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો અને છ મહિલા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે દરોડાસેક્ટર-7 પોલીસ મથકની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, ફતેપુરામાં કેટલાક રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાનો વ્યવસાય ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વિસ્તારને ઘેરી લઈને ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં છ મહિલા બુટલેગરો દારૂ ગાળતા રંગેહાથ ઝડપાઈ હતી. મુદ્દામાલની જપ્તી અને સ્થળ પર નાશપોલીસના આ ઓપરેશન દરમિયાન દારૂ બનાવવાના સાધનો અને નશાકારક પદાર્થો મળી આવ્યા હતા. અંદાજે 171 લિટર વોશ (કાચો માલ), જેનો પોલીસે સ્થળ પર જ નાશ કર્યો હતો. 20 લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ ગાળવાના સાધનો સહિત કુલ રૂ. 7,675નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કાયદેસરની કાર્યવાહીપોલીસે આ મામલે તમામ છ મહિલાઓ વિરુદ્ધ અલગ-અલગ છ ગુના નોંધી પ્રોહિબિશન એક્ટ મુજબ ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 7:40 pm

સુરેન્દ્રનગર જૈન ગ્રુપ દ્વારા બાળકો માટે ધાર્મિક શિબિર:21 એપ્રિલથી દેરાસરમાં પક્ષાલ, ઉપાશ્રયમાં શિબિરનું આયોજન

સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા વેકેશન દરમિયાન બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં દેરાસરમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનો સમાવેશ થાય છે. આયોજન મુજબ, દર રવિવારે બાળકો જીનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવશે. તેમને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવશે, જેથી બાળકોને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રોત્સાહન મળે. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના પ્રમુખ ગુંજન સંઘવીએ જણાવ્યું કે, તારીખ 21 એપ્રિલથી મંગળવારથી પક્ષાલ પૂજા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, 3 મે થી 24 મે સુધી દર રવિવારે સવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સિલ્વર ગ્રુપની સમગ્ર કારોબારી ટીમ સક્રિયપણે કાર્ય કરી રહી છે. પક્ષાલ પૂજા અને શિબિર માટેની વિગતવાર સમયસૂચિ પણ જાહેર કરવામાં આવી છે. પક્ષાલ પૂજા માટેની સમયસૂચિ નીચે મુજબ છે: 21 એપ્રિલના રોજ સવારે 7:45 થી 9:00 વાગ્યા સુધી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ (મોટું દેરાસરજી) ખાતે. 3 મેના રોજ સવારે 7:45 થી 9:00 વાગ્યા સુધી આદિનાથ જિનાલય, મેઘાણી બાગ રોડ, સ્વસ્તિક સોસાયટી ખાતે. 10 મેના રોજ સવારે 7:45 થી 9:00 વાગ્યા સુધી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, જોરાવરનગર ખાતે. 17 મેના રોજ સવારે 7:45 થી 9:00 વાગ્યા સુધી સીમંધરસ્વામી દેરાસર 24 જિનાલય, ઘર હો તો એસા, કમળ મંદિર પાસે ખાતે. શિબિર અને અન્ય કાર્યક્રમોની વિગત: 17 મેના રોજ સવારે 10:00 થી 11:00 વાગ્યા સુધી આદિનાથ ઉપાશ્રય, ઘર હો તો એસા પાસે, હોટલ વીરાની ગલીમાં. 24 મેના રોજ સવારે 10:00 થી 11:00 વાગ્યા સુધી શાંતિનાથ જિનાલય, દિગંબર મંદિર, હવેલી રોડ ખાતે. 31 મેના રોજ સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી સ્થાનકવાસી જૈન સંઘ પૂર્વ વિભાગ (ભારત) ખાતે કાર્યક્રમ યોજાશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 7:26 pm

સુરતમાં પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવવાનો કેસ:વેરવૃત્તિમાં આખા પરિવારને પતાવી દેવાનું કાવતરું ઘડનાર પાડોશી મહિલા લાજપોર જેલમાં ખસેડાઈ

સુરતના મોટા વરાછા શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં પાડોશી મહિલાએ વેરવૃત્તિમાં આખા પરિવારને પતાવી દેવા માટે પ્રસાદીના લાડુમાં ઘેનની ટીકડીઓ ભેળવી આપ્યાની ઘટનામાં મહિલા આરોપીની ઉષા નાકરાણીની ધરપકડ કરી તેને લાજપોર જેલમાં મોકલાઈ છે. પ્રસાદી સમજી લાડુ ખાતા સસરા અને પુત્રવધૂની તબિયત લથડી હતીમળતી માહિતી પ્રમાણે, શાલીગ્રામ સ્ટેટ્સમાં નિવૃત્ત જીવન જીવતા 70 વર્ષીય ગોરધનભાઈ ડોંડા ગત 10 એપ્રિલના રોજ ગાર્ડનમાંથી ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના ઉંબરા પર એક પ્લાસ્ટિકની થેલીમાં બે લાડુ મળી આવ્યા હતા. કોઈ પ્રસાદી આપી ગયું હશે તેમ માની ગોરધનભાઈ અને તેમની પુત્રવધૂ કિરણબેને લાડુ ખાધા હતા. લાડુ ખાધાના થોડા સમય બાદ ગોરધનભાઈ બેભાન થઈ ઢળી પડ્યા હતા, જ્યારે પુત્રવધૂને પણ ઝેરી અસર થઈ હતી. આરોપી મહિલાને જેલ હવાલે કરવામાં આવીઆ પ્રકરણમાં બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. જેથી પોલીસે આ પ્રકરણમાં પડોશમાં રહેતી આરોપી ઉષાબેન નાકરાણીની ધરપકડસ કરી હતી. પોલીસે ઉષાબેનની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસનાં રિમાન્ડ માંગ્યા પણ કોર્ટે રિમાન્ડની જરૂર ન હોવાનું લાગતાં લાજપોર જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 7:19 pm

પત્નીને માસિક 8 હજાર ભરણપોષણ આપવાનો હુકમ રદ્દ:સાસરીયાઓમાં 12 વર્ષના સગીર ભત્રીજાને પક્ષકાર બનાવી કહ્યું- તે દિયર છે અને કમાય પણ છે

અમદાવાદની મેટ્રો કોર્ટમાં એક મહિલાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તેના લગ્ન વર્ષ 2009માં થયા હતા. લગ્નમાં તેને પિયર તરફથી સ્ત્રી ધન આપવામાં આવ્યું હતું તેમજ કહેવામાં આવ્યું હતું કે, છોકરો આર્મીમાં નોકરી કરે છે. જોકે, તે વાત ખોટી હતી, લગ્ન બાદ સાસરિયાઓએ દહેજ બાબતે તેની સાથે ઝઘડો કરતા હતા. તેને ઘરેથી બે લાખ રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતા હતા અને માર મારતા હતા. મહિલાએ ભરણપોષણ માટે કરી કોર્ટમાં અરજીવળી સાસરિયાઓ ગર્ભ પડાવવા પણ દબાણ કરતા હતા. ઘરના કામોમાં પણ હેરાન કરતા હતા અને તેની દેખભાળ રાખતા નહોતા. તેની પાસેથી સ્ત્રી ધન પણ લઈ લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકીને સંબંધ કાપી નાખ્યા હતા. તેનો પતિ મહિને 35 હજાર રૂપિયા જેટલું કમાય છે. તેને એક સંતાન છે. જેથી તેને ભરણપોષણ આપવામાં આવે. જોકે, સામે પતિએ આક્ષેપોને ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેણે કોઈ સ્ત્રી ધન લીધું નથી. પરંતુ પત્નીએ પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપતી હતી. પતિ પોતે માત્ર 12 હજાર રૂપિયા માસિક કમાય છે. તેના માતા-પિતા વૃદ્ધ છે અને તેમના ભરણ પોષણની જવાબદારી પણ તેની ઉપર છે. પરંતુ અમદાવાદ મેટ્રો કોર્ટે પત્નીને માસિક કુલ 8 હજાર ભરણપોષણ ચૂકવવા અને 30 હજાર માનસિક યાતના તેમજ લીગલ ખર્ચ પેટે એકવાર ચૂકવવા હુકમ કર્યો હતો. પક્ષકાર દિયર નથી ભત્રીજો છે અને સગીર છેજેની સામે સાસરીયાઓએ એડવોકેટ શહેનાઝ સૈયદ દ્વારા સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે મહિલાએ સાસરીયા ઉપર આક્ષેપ કર્યા છે. તેમાં એક પક્ષકારને પોતાનો દિયર બતાવ્યો છે. જે ખરેખરમાં તેનો દિયર નહીં પરંતુ ભત્રીજો છે, વળી તે સગીર છે. તે કમાતો હોવાની પણ બાબત ખોટી દર્શાવી છે, તે તો ભણે છે. સેશન્સ કોર્ટે મેટ્રો કોર્ટના હુકમને રદ કર્યોઆવા કેસથી સગીરના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડી શકે છે. વળી પતિ પણ વાર્ષિક 84 હજાર રૂપિયા જેટલું જ કમાય છે. જેમાં તેના વૃદ્ધ માતાપિતાનું ભરણપોષણ પણ કરવાનું હોય છે. જેથી સેશન્સ કોર્ટે મેટ્રો કોર્ટના અગાઉં હુકમને રદ કરતા ફરીથી ટ્રાયલ ચલાવવા માટે હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:45 pm

બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી માતાએ પણ ઝેર પીધું:મહિલાનું મોત, બંને પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ, સામૂહિક આપઘાત કેસમાં મૃતક સામે ગુનો દાખલ

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા સુમન પ્રતીક આવાસમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના બની છે. એક રત્નકલાકારની પત્નીએ કૌટુંબિક ઝઘડાથી કંટાળી પોતાની બે નાની દીકરીઓને અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું. સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે, જ્યારે બંને દીકરીઓ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ મામલે પિતાએ મૃતક પત્ની વિરુદ્ધ જ દીકરીઓની હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો છે. શું છે સમગ્ર ઘટના?મૂળ ભાવનગરના મહુવા તાલુકાના તરેડ ગામના વતની જયસુખભાઈ કાનજીભાઈ ખરક સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. ગત 16 એપ્રિલના રોજ બપોરે જયસુખભાઈ જ્યારે કામ પર હતા, ત્યારે તેમની પત્ની મિત્તલબેને ઘરે એકલતાનો લાભ લઈ છ વર્ષની દીકરી વિનિશા અને ચાર વર્ષની આરવીને મારી નાખવાના ઈરાદે પાણીના ગ્લાસમાં અનાજની ઝેરી ગોળીઓ ઓગાળી જબરજસ્તી પીવડાવી દીધી હતી. ત્યારબાદ મિત્તલબેને પોતે પણ ઝેર પી લીધું હતું. ઝઘડાને કારણે માઠું લાગી આવતા ઘાતક પગલું ભર્યુંપ્રાથમિક વિગતો મુજબ, છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે કોઈને કોઈ કારણોસર અવારનવાર ઝઘડા થતા હતા. આ કલેહને કારણે મિત્તલબેનને સતત માઠું લાગી આવતું હતું, જેના પરિણામે તેમણે આ અંતિમ અને ઘાતક પગલું ભર્યું હોવાનું મનાય છે. ઝેર પીધા બાદ ત્રણેયને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગતરોજ મિત્તલબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને માસૂમ બાળકીઓ હાલમાં પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે જયસુખભાઈએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મિત્તલબેન સામે પોતાની જ દીકરીઓની હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:39 pm

અગાઉ ઝઘડો થયો ત્યારે માતા-પુત્રી મુંબઈ જતા રહ્યા'તા:નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ પોતાની પત્ની અને દીકરીને મારી નાખવાની ધમકી આપતા દીકરીએ નોંધાવી ફરિયાદ

નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ પોતાની પત્ની અને દીકરીને માર મારી બાદમાં મારી નાખવાની ધમકી આપતા પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં ચૈતાલીબેન હાર્દીકભાઇ સોલંકી (ઉં.વ.22)એ જણાવ્યું હતું કે, આશરે ચાર મહીના પહેલા મારા પિતા હાર્દિકભાઈને મારી માતા જયશ્રીબેન સાથે માથાકુટ થતા હું તથા મારા માતા જયશ્રીબેન બંને મારા પિતા હાર્દીકભાઈને કહ્યા વગર અલગથી રહેવા માટે વેસ્ટ મુબંઈ જતા રહ્યા હતા અને ગઇ તા.1 એપ્રિલના રોજ મારે બી.કોમ. સેમેસ્ટર 06ની પરીક્ષા હોવાથી હું અહીં સ્વામીનારાયણ મંદિર કાલાવાડ રોડ રાજકોટ ખાતે આવીને રોકાઈ હતી. બાદમાં ગઈ તા.05 એપ્રિલના રોજ મારા પિતાએ મારી તથા મારા માતા જયશ્રીબેનના ગુમ થવા બાબતે અરજી કરી હોવાથી હું માલવીયાનગર પોલીસ સ્ટેશન આવી હતી. મારા પિતા હાર્દિકભાઈ મને લેવા માટે પોલીસ સ્ટેશન આવતા હું મારા પિતા સાથે ઘરે જતી રહી હતી. બાદ મારા માતા જયશ્રીબેન મને લેવા માટે મુંબઈથી અહીં રાજકોટ આવ્યા હતા ત્યારે બંને વચ્ચે વાતચીત દરમિયાન મારા માતા જયશ્રીબેન અને પિતા હાર્દીકભાઈ બંને વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયું હોવાથી મારા માતા જયશ્રીબેન પણ અમારી સાથે રહેવા માટે આવી ગયા હતા અને બાદ તા.16 એપ્રિલના રાત્રે 11.30 વાગ્યા આસપાસ હું મારા ઘરે હતી ત્યારે મારા પિતાએ મારી પાસે મારો ફોન માગતા મેં મારા પિતાને ફોન આપવાની ના પાડતા તેઓ મને અપશબ્દો બોલવા લાગ્યા અને મને ઢીકા પાટુનો માર માર્યો હતો. મારા માતા મને છોડાવવા જતા મારા પિતાએ તેઓને પણ ઢીકા પાટુનો માર માર્યો હતો. મારા પિતાએ મને અને મારા માતાને કહ્યું કે આજે તો તમને મારી જ નાખવા છેnજેથી અમે ત્યાંથી નિકળી ગયા અને બાદ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આવીને મારા પિતા વિરૂધ્ધ કાર્યવાહી કરવા ફરીયાદ કરી હતી. હાલ માલવિયાનગર પોલીસે હાર્દિક ઉર્ફે કવિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:36 pm

ભરૂચ કોંગ્રેસે નગરપાલિકા ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કર્યું:ભાજપના શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો, વિકાસનો રોડમેપ રજૂ કર્યો

ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ સ્થિતિમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માટે વિકાસ કેન્દ્રિત ઘોષણાપત્ર જાહેર કરાયું છે. સાથે જ ભાજપના કથિત ભ્રષ્ટાચાર અંગે એક ‘પોલખોલ પત્રિકા’ પણ રજૂ કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન કિરણ ઠાકોર અને સુરેશ મહેતા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં આ ઘોષણાપત્ર જાહેર કરાયું હતું. તેમાં વર્ષ 2026થી 2031 સુધીના વિકાસ માટેનો રોડમેપ રજૂ કરાયો છે. કોંગ્રેસે પાલિકામાં પોતાનું બોર્ડ બનવાના આત્મવિશ્વાસ સાથે શહેરના સર્વાંગી વિકાસના વચનો આપ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપે ક્યારેય સ્પષ્ટ ઘોષણાપત્ર જાહેર કર્યું નથી કે વિકાસ માટે કોઈ ચોક્કસ રોડમેપ આપ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં શહેરની પ્રજા ટ્રાફિક સમસ્યા, અપૂર્ણ સફાઈ વ્યવસ્થા, ડમ્પિંગ સાઇટની અયોગ્ય સ્થિતિ, ખરાબ રોડ-રસ્તા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓથી પરેશાન છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શહેરની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓને આવરી લેવાયા છે. તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટ્રાફિક નિયંત્રણ, સફાઈ વ્યવસ્થા સુધારણા, ગુણવત્તાસભર રોડ-રસ્તા, સશક્ત ડ્રેનેજ સિસ્ટમ, મહિલાઓ અને સમાજ કલ્યાણ યોજનાઓ, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો, સસ્તું આવાસ અને સુવ્યવસ્થિત શહેરી આયોજન સહિત નાગરિક સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બંને મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. આગામી દિવસોમાં મતદારો માટે વિકાસના મુદ્દા કેન્દ્રસ્થાને રહે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:36 pm

અડાજણ-ગોરાટમાં રાજકીય સંગ્રામ:વોર્ડ-11માં ભાજપના ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગના આક્ષેપ સાથે ખળભળાટ, AAPના ઉમેદવારની પો. કમિશનરને લેખિત ફરિયાદ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 11માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 11 અડાજણ-ગોરાટ બેઠક પર ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોની પટેલના આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોઈપણ ઉમેદવાર ધાર્મિક સ્થળનો ઉપયોગ પોતાના પ્રચાર માટે ન કરી શકેમળતી માહિતી મુજબ વોર્ડ નંબર 11ના ભાજપના પેનલ ઉમેદવારો હર્ષ મહેતા, પરિમલ ચાસીયા, અલ્પા મહેતા અને વૈશાલી શાહ સામે ચૂંટણી જાહેરનામાના ભંગના આક્ષેપ થયા છે. આરોપ છે કે, આ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ધાર્મિક સ્થળોનો ઉપયોગ કર્યો હતો. ભારતીય ચૂંટણી પંચની આચારસંહિતા મુજબ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ધાર્મિક સ્થળ, મંદિર, મસ્જિદ કે ચર્ચનો ઉપયોગ પોતાના પ્રચાર માટે કરી શકતા નથી. ગણતરીના કલાકની અંદર જ સો.મીડિયા પરથી વીડિયો હટાવાયાઆ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રચારના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં ઉમેદવારો પક્ષનો ખેસ ધારણ કરીને ધાર્મિક સ્થળોએ જનસંપર્ક કરતા જોવા મળ્યા હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતની ગંભીરતા સમજાતા અથવા વિરોધ પક્ષની નજરે પડતા જ ગણતરીના એક કલાકની અંદર જ આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ડોનિકા પટેલ દ્વારા આ મામલે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપના ઉમેદવારો સત્તાના નશામાં ચૂંટણીના નિયમોને નેવે મૂકી રહ્યા છે. ધાર્મિક સ્થળોએ જઈને પક્ષના ખેસ ધારણ કરી પ્રચાર કરવો એ સીધો આચારસંહિતાનો ભંગ છે જૈન મંદિરમાં ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરતા ઉમેદવાર નજરે પડ્યાવોર્ડ નંબર 11 આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોનિકા પટેલે જણાવ્યું હતું કે, આજે અમે ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ અમારા જ વોર્ડના ભાજપના ચારે ચાર ઉમેદવારોએ આચારસંહિતા તથા જાહેરનામાનો શહેરમાં ઉલ્લંઘન કર્યો છે. બે દિવસ પહેલાં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાએ રીલ અપલોડ કરી હતી, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે જૈન મંદિરમાં તેઓ ભાજપનો ખેસ પહેરીને પાર્ટી પ્રચાર કરે છે અને મતો માંગે છે. તો આ જે રીલ છે એ એમણે એક કલાકમાં ડિલીટ કરી દીધી છે. અમારી પોલીસ કમિશનર અને ચૂંટણી અધિકારીઓને એ માંગ છે કે, આ કાયદાનો પાઠ ભણાવતી સરકારમાં એમના જ લોકો દ્વારા કાયદાનો ભંગ થાય છે, તો એમના પર તમે કડકમાં કડક અને તરત ને તરત પગલાં લો. જાહેર જનતાને પણ તમે બતાવો કે આ સરકારને ફક્ત કાયદાનો પાઠ ભણાવતા જ નહીં પરંતુ અમલ કરતા પણ આવડે છે અને કરાવતા પણ આવડે છે પછી ભલે તે પોતાના જ ઉમેદવાર કેમ ન હોય. અમારી માંગ એ છે કે, ચારે ચાર ઉમેદવારોને જાહેર નોટિસ આપવામાં આવે અને ફરી બીજી વાર આવી કોઈ આચારસંહિતા કે જાહેરનામાનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:29 pm

હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું:નરોડામાં કોહિનૂર હબમાં સાઉન્ડની ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, કાર-મોબાઇલ સહિત 23.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ શહેરના નરોડા રિંગ રોડ પર આવેલા એક બિઝનેસ કોમ્પ્લેક્સમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 8 શખ્સોને 23.48 લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.આરોપીઓ સાઉન્ડની ઓફિસમાં બેસીને જુગાર રમી રહ્યા હતા.આરોપીઓ પાસેથી મોંઘા ફોન,કાર સહિતનો લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવ્યોનરોડા પોલીસને બાતમી મળી હતી કે, ટોલટેક્ષ પાસે આવેલા કોહીનુર બિઝનેસ હબ ના છઠ્ઠા માળે દુકાન નંબર 605માં આવેલી 'જે.ડી. બ્રધર ડી.જે. એન્ડ સાઉન્ડ' નામની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે PSI વી.આર. ચૌધરી અને તેમની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસ પહોંચતા જ ત્યાં દોડધામ મચી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યોજોકે, પોલીસે કોર્ડન કરી દિપલ નટવરલાલ સિદ્ધપુરા (રહે. બાપુનગર) , ચેતન ઇશ્વરભાઇ પટેલ (રહે. ઓઢવ) , નિરવ કમલેશભાઇ પટેલ (રહે. વસ્ત્રાલ) , અશોક કનુભાઇ પટેલ (રહે. નિકોલ) , વિજયભાઇ ધીરૂભાઇ પટેલ (રહે. નવા નરોડા) , વિનોદ ડાહ્યાભાઇ પટેલ (રહે. બાપુનગર), રાજેશ ધનજીભાઇ પટેલ (રહે. વસ્ત્રાલ) અને વિપુલભાઇ રવજીભાઇ પટેલ (રહે. નિકોલ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ, વ્હીકલ સહિત 23.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:16 pm

પંચમહાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ટ્રાયલ શરૂ:ગોધરાથી વડોદરા માત્ર 45 મિનિટમાં પહોંચી શકાશે, 8-લેન એક્સપ્રેસ-વેથી સમય અને ઈંધણની બચત થશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ હેઠળ ગોધરાથી વડોદરા સુધીનો હિસ્સો ટ્રાયલ રન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ નવા વિકાસ સાથે ગોધરા અને વડોદરા વચ્ચેનું અંતર હવે માત્ર 45 મિનિટમાં કાપી શકાશે, જે અન્ય હાઈવે પરથી જતાં 2 કલાક જેટલો સમય લાગતો હતો. આમ અન્ય હાઈવે પર કરાતી મુસાફરી સમયમાં મોટો ઘટાડો થશે. મુસાફરી ઝડપી અને સુરક્ષિત બનશેઅત્યાર સુધી ગોધરાથી વડોદરા જવા માટે ટ્રાફિક અને રસ્તાની મર્યાદાઓને કારણે ઘણો સમય વ્યતિત થતો હતો. આ આધુનિક 8-લેન એક્સપ્રેસ-વે કાર્યરત થવાથી મુસાફરીનો સમય ઘટીને 45થી 50 મિનિટ થઈ જશે. હાઈ-સ્પીડ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વાહનચાલકોને આરામદાયક અનુભવ મળશે અને ઈંધણની પણ બચત થશે. વેપાર અને રોજગારને વેગ મળશેઆ એક્સપ્રેસ-વે ગોધરા અને કાલોલ વિસ્તારના વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થવાની ધારણા છે. વડોદરા અને સુરત જેવા આર્થિક કેન્દ્રો સાથે સીધું જોડાણ મળવાથી માલસામાનની હેરફેર ઝડપી બનશે. આના પરિણામે સ્થાનિક ઉદ્યોગો વિકસશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીની શક્યતાગોધરા પાસે એક્સપ્રેસ-વેના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ ફાળવવામાં આવ્યા હોવાથી આસપાસના વિસ્તારોમાં જમીનના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વ્યાપારી ગતિવિધિઓ વધવાની સાથે નવા રહેણાંક પ્રોજેક્ટ્સની માંગમાં પણ આગામી સમયમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:10 pm

ગોધરામાં સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા બેઠક:જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી-2026 અન્વયે યોજાઈ

ગોધરામાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરવાનો અને તેમને નક્કી કરવાનો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. ગોધરા જિલ્લા પંચાયત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 26 એપ્રિલ, 2026ના રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન યોજાશે. આ વર્ગીકરણ માટે અગાઉની લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન નોંધાયેલા ગુનાઓની વિગતોને ધ્યાનમાં લેવામાં આવશે. આ વર્ગીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો અને લોકશાહી ઢબે મુક્ત, ન્યાયી તથા પારદર્શક ચૂંટણીઓ યોજવાનો છે. ચૂંટણી અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવાશે. આ બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર (ગોધરા ગ્રામ્ય), મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક તેમજ ગોધરા 'એ' ડિવિઝન, કાંકણપુર, શહેરા અને વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:10 pm

અમદાવાદમાં સિનિયર સિટીઝન માટે જાગૃતિ સત્ર યોજાયું:નીલગીરી ગ્રુપ દ્વારા નાણાકીય જ્ઞાન અપાયું

નીલગીરી ગ્રુપ દ્વારા સોલા, અમદાવાદ ખાતે સિનિયર સિટીઝન માટે એક જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય હેતુ નાગરિકોમાં નાણાકીય જાગૃતિ વધારવાનો હતો. આ કાર્યક્રમમાં 50 વર્ષથી વધુ ઉંમરના નીલગીરી ગ્રુપના સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જાગૃત કરવા આ સત્ર યોજાયું હતું. સત્ર દરમિયાન નિષ્ણાતોએ રોકાણના ફાયદા, જોખમ અને વિવિધ પ્લાન્સ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, મનોરંજન માટે રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિતોને ભેટ પણ આપવામાં આવી હતી. નીલગીરી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપના પ્રમુખ દશરથભાઈ અને ઉપપ્રમુખ રમેશભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રશ્નો પૂછીને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:09 pm

મહીસાગરમાં NEET-2026 પરીક્ષા માટે જાહેરનામું:કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ, 3મે ના રોજ યોજાશે પરીક્ષા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 3 મે, 2026ના રોજ NEET-2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે ઓચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ અને બાલાસિનોર મોડલ સ્કૂલને પરીક્ષા કેન્દ્રો તરીકે ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 3 મે, 2026ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અમલમાં રહેશે. પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશામાં 200 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને આ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ છે. કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવો નહીં. કોઈપણ વ્યક્તિ દ્વારા પરીક્ષાર્થીઓને ચોરી કરવામાં કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા પર પ્રતિબંધ છે. પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખનકાર્યમાં વિક્ષેપ પડે તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહીં. પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ અને ફરજ પરના તમામ સ્ટાફને પરીક્ષા સંબંધિત ચોરી કરી શકાય તેવી કોઈપણ વસ્તુ અથવા ઈલેક્ટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, કેમેરા, સ્માર્ટવોચ, સ્માર્ટબેન્ડ, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, બ્લુટુથ, ઈયરફોન તથા આવા અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ/ઉપકરણોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા ખંડમાં લઈ જવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી, પરીક્ષા કેન્દ્રના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કોપી સેન્ટર, ઝેરોક્ષ કોપીઅર મશીન, ફેક્સ મશીન સંચાલકોએ પરીક્ષાના દિવસ દરમિયાન સવારે 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કોપીઅર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવાનો રહેશે. પરીક્ષા કેન્દ્રની આજુબાજુ બિનજરૂરી ટોળા ભેગા થવા પર, અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ, અનઅધિકૃત લેખન સામગ્રી લઈ જવા પર અને માઈક/લાઉડ સ્પીકર/ડીજે સાઉન્ડ વગાડવા પર પણ પ્રતિબંધ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:07 pm

વડોદરામાં ભાજપ ઉમેદવારના વિરોધમાં પોસ્ટર લગાવનાર 'MASKMAN' કોણ?:ભાસ્કર સમક્ષ આવી કહ્યું- 'હું મોદી ભક્ત છું પણ સ્થાનિક ઉમેદવાર સામે મારો વિરોધ'

વડોદરા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર વચ્ચે જ કેટલાક વિસ્તારમાં 'માસ્કમેન' દ્વારા ભાજપના ઉમેદવારોના વિરોધમાં પોસ્ટર લગાવી કૌતુક જગાવ્યું છે. તો બીજી તરફ વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા અને માસ્કમેન વચ્ચે ફોન પર થયેલી કથિત વાતચીતની વાઈરલ થયેલી ઓડિયોએ પણ ચર્ચા જગાવી છે. ત્યારે ભાસ્કરે માસ્ક પહેરી વિરોધ કરી રહેલા યુવકને શોધી તેની સાથે વાતચીત કરી હતી. યુવકે કહ્યું હતં કે, હું મોદી ભક્ત છું પણ મારો સ્થાનિક ઉમેદવારો સામે વિરોધ છે. આ યુવાન ક્રાંતિકારી સેના સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. 'એવા ઉમેદવારને ન ચૂંટો કે જેના પાસે કામ કરાવવામાં તકલીફ પડે'માસ્ક પહેરી ભાજપના ઉમેદવારોને વિરોધ કરી રહેલા યુવકે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ક્રાંતિકારી સેનામાં પાંચ વર્ષથી કામ કરું છું. અમે જનતાના પ્રશ્નોને લઈને ચાલીએ છે.અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કામ કરાવવા જઈએ છે પણ કામ થતાં નથી. નાછૂટકે અમારે ક્યારેક મીડિયાનો સહારો લેવો પડે છે. વીડિઓ વાયરલ કર્યા પછી કામ થતાં હોય તો તેવા નેતાઓને ચૂંટવાનો કોઈ મતલબ નથી. આ એક અવસર છે ત્યારે અમે જનતાને જાગૃત કરવા માંગીએ છે કે એવા ઉમેદવારોને ન ચૂંટી લાવો કે જ્યારે કામ કરાવવા જઈએ તો તકલીફ થાય. 'હું મોદી ભક્ત છું, પણ સ્થાનિક ઉમેદવાર સામે અમારો વિરોધ છે'યુવકને જ્યારે વિરોધ માટે માસ્ક શા માટે પહેર્યું છે તેને લઈ સવાલ કરાતા તેને કહ્યું કે, માસ્ક એટલે પહેર્યું છે કે લોકો મોદી સાહેબનો ચહેરો જોઈને મત આપે છે. અમે પરમ મોદી ભક્ત છે. 2017થી અમે અમારા ખર્ચે મોદી સાહેબના બેનર લગાવી તેમના માટે અમારા ખર્ચે કામ કરીએ છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હશે તો અમે મોદી સાહેબનો જ પ્રચાર કરીશું. પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. માસ્ક એટલા માટે કે આ વખતે સ્થાનિક ચહેરો જોઈને મત આપજો. સ્થાનિક સારા ઉમેદવારને મત આપજો. જે અંદરો અંદર લડાવેતેવા ઉમેદવારને મત ન આપતા. બધાને સાથે રાખીને ચાલે એવા ઉમેદવારને ચૂંટી લાવજો જેથી તમારા નળ, ગટર અને રસ્તા વ્યવસ્થિત રહેશે 'ક્રાંતિકારીને દબાવી શકશો, ક્રાંતિકારીના વિચારને નહીં દબાવી શકો''માસ્કમેન'ને ફોન પર મળતી ધમકી અંગે જ્યારે સવાલ કરાયો ત્યારે તેને કહ્યું કે, સત્ય પરેશાન હો શકતા હૈ, પરાજિત નહીં. વર્ષોથી આવી ધમકીઓ મળી છે પણ અમે વર્ષોથી કામ કરતા જ રહ્યા છે.આવી ધમકીઓથી અમારા વિચાર બંધ નહી થાય. અમારો મંડપ પણ કોર્પોરેશન દ્વારા હટાવી દેવડાવ્યો, પણ અમે પાછા પડવાના નથી. તમે એક પગલું ભરશો અમે બે ડગલા આગળ ચાલીશું. ક્રાંતિકારીના વિચારને નહીં દબાવી શકો, ક્રાંતિકારીને દબાવી શકશો. મને કોંગ્રેસી જાહેર કરે છે પણ હું કોંગ્રેસી નથી-માસ્કમેનમાસ્કમેને કહ્યું કે, આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી. પબ્લિકની સુખાકારી માટે કરીએ છે. અમે સધ્ધર છે અમારે આમાંથી કમાવાની કોઈ આશા પણ નથી. એક જ આશા છે કે દુનિયામાં આવ્યા છે તો લોકો માટે કંઈક કરીને જઈએ તો દુનિયા યાદ રાખે. નવા ઉમેદવાર જે પણ આવશે એમને કામ કરવું જ પડશે. આ માસ્કમેન વોર્ડ 10માં હંમેશા જીવતો જ રહેશે. જો કામ કરવાની ગણતરી હોય તો જ પ્રચાર કરજો. જીત્યા પછી કામ નહીં કરો તો આ જ તેવરમાં કામ કરાવીશું. મને મામાએ બોલાવ્યો હતો અને કહ્યું હતું કે, અવનીબેન વિરૂધ્ધમાં પોસ્ટર ન લગાવીશ. પાર્ટીમાં ખોટી નોંધ લેવાય છે. મેં એમને કહ્યું કે એ તમારો વિષય છે. તમે પાર્ટીને જણાવો કે અવનીબેનને ટિકિટ કેવી રીતે આપી? અમે ભાજપ વિરોધી નથી. પણ એ મને કોંગ્રેસી જાહેર કરે છે. હું કોંગ્રેસી નથી. વિરોધ કરે એ બધા કોંગ્રેસી ન હોય, કહેતા પહેલા મારો ઇતિહાસ જાણી લેવો જોઈએ. મેં કહ્યું કે હું આ અભિયાન ચાલુ જ રાખીશ. 'તું હરાવવા બધા પ્રયત્ન કરી લે, તારો પર્સનલ હિસાબ કરીશ':વોર્ડ-10ના ભાજપ ઉમેદવાર નીતિન દોંગાનો આડિયો વાઈરલ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો જંગ જામ્યો છે. શહેર પોસ્ટર વોર, સોશિયલ મીડિયા વોર હવે ખુલીને જોવા મળી રહી છે. બે દિવસ પહેલા શહેરના વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. જે બાદ નીતિન દોંગા અને ક્રાંતિકારી સેનાના યુવાન કે જેને આ પોસ્ટર લગાવ્યા હોવાનું કહેવાય છે તેઓ વચ્ચેનો વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે. જેમાં નીતિન દોંગા યુવકને એવું કહેતા સાંભળવા મળે છે કે, તું મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે. જો તું મને નહીં હરાવી શક્યો તો તું બહુ દુઃખી થઈશ. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:02 pm

સુરેન્દ્રનગર વોર્ડ-2 માં ભાજપ કાર્યાલયનો પ્રારંભ:આગામી ચૂંટણી માટે પ્રચાર શરૂ, ધારાસભ્ય સહિત આગેવાનો હાજર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી 2026ના પડઘમ વાગી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શહેરના વોર્ડ નંબર-2 માં પોતાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કર્યો છે. આ સાથે ભાજપે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. ગઈકાલે યોજાયેલા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા અને શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની એક વિશેષતા એ રહી કે તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ પણ હાજરી આપીને ભાજપના સર્વાંગી વિકાસના મંત્રને સમર્થન જાહેર કર્યું હતું. આ કાર્યાલય મિલ બંગલા સામે ખોલવામાં આવ્યું છે. કાર્યાલયના શુભારંભ બાદ એક ભવ્ય સભાનું આયોજન થયું હતું. જેમાં વિવિધ સમાજના આગેવાનો, બુથ પ્રમુખો અને સિનિયર કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત જનસમૂહે વોર્ડ નંબર-2 ના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભાજપ દ્વારા દરેક વોર્ડમાં ત્રણ કાર્યાલય ખોલવાના નિર્ણયના ભાગરૂપે વોર્ડ નંબર-૨ માં પણ આ કાર્યાલય ખોલવામાં આવ્યું છે. આ પ્રસંગે મુસ્લિમ સમાજ સહિત શહેરના તમામ વર્ગોએ ભાજપના સંકલ્પને સમર્થન આપ્યું હતું. વોર્ડ નંબર-2 માંથી ભાજપના ઉમેદવારો જયદીપસિંહ આર. ઝાલા, નિરવભાઈ એ. દવે, પ્રિતિબેન એમ. સોલંકી અને હંસાબેન કે. વસવેલીયા છે. સભામાં ઉપસ્થિત જનતાએ આ ઉમેદવારો પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં પૂર્વ ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દીપેનભાઈ દવે અને સુરેન્દ્રનગર બાર એસોસિએશનના પૂર્વ ઉપ પ્રમુખ દિગ્વિજય સિંહ ઝાલાનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:55 pm

‘ચાય પર સંવાદ’માં જગદીશ વિશ્વકર્મા બન્યા શિક્ષક, કાર્યકર્તાઓનો 'ક્લાસ' લીધો:મતદારો સુધી સરકારી યોજનાઓના ફાયદા પહોંચાડવા અને લાભાર્થીઓની યાદી સાથે રાખવા ટ્રેનિંગ આપી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે પ્રચાર તેજ કર્યો છે. અડાજણ વિસ્તારમાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ‘ચાય પર સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીએ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી રણનીતિના પાઠ ભણાવ્યા હતા અને વિરોધ પક્ષોની મોસમી રાજનીતિ પર આકરા કટાક્ષ કર્યા હતા. મંત્રીએ શિક્ષક બની કાર્યકર્તાઓનો 'ક્લાસ' લીધોકાર્યક્રમ દરમિયાન જગદીશ વિશ્વકર્મા એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. અહીં તેઓ એક શિક્ષકની ભૂમિકામાં દેખાયા હતા. તેમણે ઉપસ્થિત મહિલા કાર્યકર્તાઓનો 'ક્લાસ' લેતા સરકારની વિવિધ યોજનાઓ વિશે પૃચ્છા કરી હતી. તેમણે ખાસ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. માત્ર નારા લગાવવાને બદલે વિશ્વકર્મા યોજના, ઉજ્જવલા યોજના અને મહિલા કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવા સૂચના આપી હતી. મતદારો પાસે જતી વખતે યોજનાઓના ફાયદા અને તેની યાદી સાથે રાખવા કેડર-બેઝ્ડ ટ્રેનિંગ આપી હતી. 'ચૂંટણી ટાણે જ માત્ર દેડકા અને ઝાડુવાળા જ દેખાય'સંવાદ દરમિયાન મંત્રીએ જ્યારે ચૂંટણી સમયે આવતા લોકો વિશે પૂછ્યું, ત્યારે મહિલા કાર્યકર્તાઓએ વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે માત્ર દેડકા અને ઝાડુવાળા જ દેખાય છે. મંત્રીએ આ સુરમાં સૂર પુરાવતા વિપક્ષી દળોની સરખામણી ચોમાસાના દેડકા સાથે કરી હતી અને જણાવ્યું હતું કે, વિરોધ પક્ષો માત્ર ચૂંટણીની મોસમમાં જ મેદાને પડે છે અને મતો માટે ગલીએ-ગલીએ ફરે છે. ભાજપના કાર્યકરો કોરોના કે પૂર જેવી આપત્તિઓ સહિત વર્ષના 365 દિવસ જનતાની સેવામાં કાર્યરત રહે છે. 'મહિલા મોરચાની ભૂમિકાને અત્યંત મહત્વની'જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને અંતિમ રણનીતિ સમજાવતા કહ્યું હતું કે, જનતાને એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે કાયમી સાથ માત્ર મોદી સરકારનો જ રહે છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપના ગઢને વધુ મજબૂત કરવા માટે તેમણે મહિલા મોરચાની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી હતી. આ ‘ચાય પર સંવાદ’ દ્વારા ભાજપે વિરોધ પક્ષોને જડબાતોડ જવાબ આપવા અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:53 pm

ઢોસા ખીરુ કેસ: FSL રિપોર્ટ નેગેટિવ:અલ્પેશ કથીરિયા સામે આક્રોષ તો સોનલ પટેલનાં વાળ ખેંચાયા, આવતીકાલથી વરસાદની આગાહી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલે વાવ-થરાદમાં વિકાસ સંકલ્પ સભામાં હાજરી આપી સાથે ધરણીધર ભગવાનના દર્શન કર્યા તો હર્ષ સંઘવીએ ડાંગમાં ‘વિકાસ સંકલ્પ સભા’માં BJPને વિજયી બનાવવાનું આહ્વાન કર્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ નેતા સોનલ પટેલના જાહેરમાં વાળ ખેંચ્યા એક લાખ રૂપિયા પાર્ટી ફંડમાં આપ્યા છતા ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર ભાવના ગુપ્તાએ જાહેરમાં સોનલબેન પટેલના વાળ ખેંચ્યા .. અગાઉ ભાવનાબેને વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કરાયો હતો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલ્પેશ કથીરિયા સામે આક્રોષ ભાજપે ટીકિટ આપતા પ્રચાર માટે પહોચેલા અલ્પેશ કથીરિયાને જનતાના રોષનો સામનો કરવો પડ્યો.. લોકોએ કહ્યુ સત્તા તમારી છે તો કામ કેમ નથી થતું? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધંધુકામાં યુવકની હત્યાથી ભરેલા અગ્ની જેવી સ્થિતિ ધંધુકામાં યુવકની હત્યાથી સ્થાનિકોના ટોળાઓ રસ્તા પર ઉતર્યા દુકાનોમાં આગચંપી અને તોડફોડ કરી પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લીંબડીમાં આગ, પતિ-પત્ની જીવતા ભૂંજાયા લીંબડીની વોરા સોસાયટી રહેણાક મકાનમાં આગ લાગી ચાર્જિંગમાં મુકેલા મોબાઇલના બેટરી ફાટ્યાથી આગ લાગવાની આશંકા... હાજર દપંતિ જીવતા ભૂંજાયા તો ફાયરની ટીમ સમયસર ન પહોચી હોવાનો પરિવારનો આક્ષેપ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રાઇમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PSI પર હુમલો થયો... . એમડી ડ્રગ્સની રેડ માટે ભાટ ગામ જતા પોલીસ અને આરોપી વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે આરોપીએ PSI પર છરીથી હુમલો કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંકલેશ્વરમાં આડાસંબંધમાં યુવકની ગળું કાપી હત્યાઅંકલેશ્વરમાં આડાસંબંધમાં જમાઈ અને સગીર દીકરાએ પરપ્રાંતીય યુવક મુન્ના લક્ષ્મણ પાલની ગળું કાપીને હત્યા કરી નાંખી અને લાશ સારંગપુરની ઝાડીઓમાં ફેંકી દીધી... મૃતકના આરોપીની સાળી સાથે અનૈતિક સંબંધ હતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ રાતમાં 17થી વધુ દુકાનોના તાળા તૂટ્યા ગાંધીનગરના માણસા યાર્ડમાં તસ્કરો એક સાથે 17થી વધુ દુકાનો પર ત્રાટક્યા. સવારે જ્યારે વેપારીઓ માર્કેટ પહોંચ્યા ત્યારે અધખુલ્લા શટર અને વેરવિખેર સામાન જોઈ ચોંકી ઉઠ્યા હતા. ગલ્લાઓમાંથી મોટી રોકડ રકમની ચોરી થઈ હોવાનું અનુમાન આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઢોસાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો ઢોસાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો... જેમાં કોઇ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી જેથી પોલીસે કહ્યુ કે હવે રિપોર્ટ ડૉક્ટરને મોકલાશે' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 5 જિલ્લામાં વરસાદની આગાહી આવતીકાલથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.. પરંતુ તાપમાન ઊંચું જ રહેશે સુરતમાં 4નો વધારો તો સુરેન્દ્રનગર 41.2C સાથે સૌથી ગરમ, કમોસમી વરસાદથી ખેડુતો ચિંતામાં આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:50 pm

હિંમત હાઈસ્કૂલમાં નિવૃત્ત કર્મચારીઓનો મિલન સમારોહ:40થી વધુ પૂર્વ કર્મચારીઓએ શાળાને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું અને ભૂતકાળની યાદો તાજી કરી

હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં નિવૃત્ત શિક્ષકો અને કર્મચારીઓનો મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1972થી 2025 દરમિયાન નિવૃત્ત થયેલા કુલ 73 કર્મચારીઓમાંથી 40થી વધુ પૂર્વ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં આચાર્ય એસ.એસ. પટેલ દ્વારા તમામ નિવૃત્ત કર્મચારીઓ અને વર્તમાન સ્ટાફ મિત્રોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શાળાની પ્રગતિ અંગે પણ વાત કરી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત આચાર્ય નર્મદ ત્રિવેદી, જોઈતા પટેલ, તેમજ ઇન્ચાર્જ આચાર્ય સી.વી. દરજી અને જે.એ. સિંધી હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ કર્મચારીઓએ પોતાનો પરિચય આપ્યો, શાળાને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું અને ભૂતકાળની યાદો તાજી કરી હતી. તેમણે શાળા વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ મિલન સમારોહમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પરેશ શાહ અને યોગેશ પટેલએ દાતા તરીકે યોગદાન આપ્યું હતું. ભવિષ્યમાં આવા કાર્યક્રમો માટે નિવૃત્ત કર્મચારી મિત્રોએ પણ ફાળો આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને સંકલન આર.એસ. પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે દરેક કર્મચારીનો સંપર્ક કરીને આમંત્રણ આપ્યું હતું. શાળાના સુપરવાઇઝર એસ.કે. મનાત, પી.જે. મહેતા અને તમામ સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા હતા. હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ હેમંત મહેતા અને મંત્રી જીતુ પટેલ દ્વારા આ કાર્યક્રમ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:35 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ચાંદખેડામાં બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોતનો FSL રિપોર્ટ આવ્યો, કોંગ્રેસના મહિલા પ્રમુખના જાહેરમાં વાળ ખેંચનાર કાર્યકર્તા સસ્પેન્ડ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ચૂંટણી પ્રચાર સમયે 'ગબ્બર'ને રોકી પાટીદાર મતદારોએ રોકડું પરખાવ્યું, લિંબાયતમાં પોલીસે જાહેરમાં આરોપીને દંડા ફટકાર્યા

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 pm

ચૂંટણી પહેલા વલસાડ પોલીસ એલર્ટ:લાખોનો દારૂ ઝડપી પાડ્યો, 24 કલાક સઘન ચેકિંગ

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ વલસાડ ડિવિઝન પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસે દેશી અને વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂના 230 કેસ નોંધ્યા છે. આ કાર્યવાહીમાં રૂ. 1.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિદેશી દારૂના 108 કેસમાં પોલીસે 56,780 બોટલ દારૂ જપ્ત કર્યો છે. તેની અંદાજિત કિંમત રૂ. 93.90 લાખ આંકવામાં આવી છે. DySP એ.કે. વર્માએ જણાવ્યું હતું કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને વલસાડ ડિવિઝનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે. અગાઉની એક ચેકપોસ્ટ ઉપરાંત બે નવી ચેકપોસ્ટ ઊભી કરીને 24 કલાક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દારૂબંધીની અમલવારી સાથે, વાહન ચેકિંગ દરમિયાન કોઈ વ્યક્તિ હથિયાર સાથે ન પકડાય અથવા નશાની હાલતમાં વાહન ન ચલાવે તેની પર પણ પોલીસ બાજ નજર રાખી રહી છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક રીતે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:12 pm

રાજપીપળા નગરપાલિકા ચૂંટણી: ચાની લારીવાળા ઉમેદવારો બન્યા આકર્ષણનું કેન્દ્ર:ભાજપ અને AAPએ સામાન્ય નાગરિકોને આપી ટિકિટ, જીતનો દાવો

નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ચાની લારી ચલાવતા બે સામાન્ય નાગરિકોની ઉમેદવારી આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેએ આવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ સમાજસેવાની ભાવના સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપે વોર્ડ નંબર 7 માંથી ગીતાબેન પાટણવાડિયાને ટિકિટ આપી છે, જેઓ એક વિધવા મહિલા છે. ગીતાબેન છેલ્લા 35 વર્ષથી કોલેજ રોડ પર ચાની ટપરી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે, જેમાંથી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ગીતાબેન જણાવે છે કે તેઓ પહેલા પોતાની ટપરી પર ધ્યાન આપે છે અને પછી પ્રચારમાં જોડાય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કહ્યું કે, જોકે તેઓ વડાપ્રધાન જેટલી ઊંચાઈએ નહીં પહોંચી શકે, પરંતુ રાજપીપળા નગરપાલિકામાં વિજેતા બનીને સમાજ સેવા કરવા માંગે છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 5 માંથી સિકંદર ઘોરીને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ રાજપીપળા ડેપો ખાતે 40 વર્ષથી ચાની ટપરી ચલાવે છે અને 'સિકંદર ચાવાળા' તરીકે ઓળખાય છે. સિકંદરભાઈ અગાઉ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. સિકંદરભાઈના મતે, તેમના મતદારોએ જ તેમને આ વખતે ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેઓ દાવો કરે છે કે ભાજપે છેલ્લા 10 વર્ષમાં તેમના વિસ્તારમાં કોઈ કામ કર્યું નથી. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ એક સામાન્ય ચાની ટપરી ચલાવનારને ટિકિટ આપી તે તેમના માટે ગર્વની વાત છે. તેઓ પોતાના વોર્ડની ચારેય બેઠકો પર વિજય મેળવી રાજપીપળા શહેરના વિકાસ માટે કામ કરવાની વાત કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:12 pm

માનસિક ત્રાસની રકમ ચુકવવા હુક્મ:પોલિસીની શરત મુજબ 10% કો-પેમેન્ટ કપાત કરી ફરિયાદીને ₹2,17,365 વ્યાજ સાથે ચૂકવવા હુક્મ

અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન( એડિશનલ )ના પ્રમુખ ઇન્ચાર્જ શ્રીમાન એમ એચ પટેલ તથા મેમ્બર શ્રી એમ.બી. ચૌહાણની બેન્ચે ફરિયાદીએ કલેઇમ કરેલ રકમ ₹2,41,517 માંથી પોલીસીની શરત મુજબ 10% કો - પેમેન્ટ કપાત કરી ફરિયાદીને રકમ રૂપિયા ₹2,17,365 દાખલ થયા તારીખ 1- 6- 2024થી વાર્ષિક 7% ના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો છે. આ હુક્મ તારીખથી 30 દિવસમાં રકમ ચુકવી આપવાનો આદેશ આપ્યો છે. વધુમાં ફરિયાદીને માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટના ખર્ચ પેટે અલગથી ₹4,000 ચૂકવવા પણ વીમા કંપનીને હુકમ કર્યો છે. અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન ( એડિશનલ ) દ્વારા આપેલાં ચુકાદામાં નોંધ્યું છે કે, વીમા કંપની દ્વારા રેકર્ડ ઉપરના દસ્તાવેજી પુરાવાઓને અવગણી પોલિસી ધારકને આપવામાં આવેલ રેપ્યુડેશન પત્રને અન્યાયી , અમાન્ય અને તર્કસંગત ના હોય તેવી નોંધ સાથે રદ કરી ફરિયાદી ગ્રાહકને ન્યાય આપ્યો છે. પોલિસીધારકને વીમા કંપનીએ ક્લેઈમની રકમ ચૂકવવાનો ઈન્કાર કર્યોઅમદાવાદના રહીશ ભરતસિંહ રાઠોડે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વર્ષ 2021માં 5 લાખનો વીમો લીધો હતો. પોલિસી લેતા સમયે પ્રપોઝલ ફોર્મમાં દસ વર્ષ અગાઉ લીધેલ સારવારનો ઉલ્લેખ કરેલ હતો. વીમા કંપની તેઓની હકીકતોને ધ્યાને લઈ પ્રીમિયમ નક્કી કરી પોલિસી આપી હતી. પોલિસીધારકને વર્ષ 2023માં પાન યુરેથલ સ્ટ્રિક્ચરની બીમારી હોસ્પિટલમાં દાખલ થઈ તબીબી સારવાર લીધી હતી. તબીબી સારવાર દરમિયાન 2,41,517નું બિલ આવ્યું હતું. આ બિલની રકમ મેળવવા માટે વીમા કંપની પાસે ક્લેઇમ કર્યો હતો. વીમા કંપનીએ કલેઇમની રકમ pre existingના નામે આપવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે ગ્રાહક સાથે ન્યાય કર્યોપોલિસીધારક ગ્રાહક પોતે ન્યાય ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી વીમા કંપની દ્વારા ક્લેઇમ આપવા કરેલા ઇનકારના નિર્ણયને ચેલેન્જ કરવો જરૂરી માની ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. સુચિત્રા પાલ દ્વારા કરેલી ફરિયાદ અને દલીલો તથા રેકોર્ડ પર રજૂ થયેલ પુરાવાઓને ધ્યાને લઈ કમિશને વીમા કંપનીના ક્લેઇમ ના આપવાના નિર્ણયને અન્યાયી અને અમાન્ય,અતાર્કિક માની ફરિયાદીની તરફેણમાં હુકમ કરી પોલીસી ધારક ગ્રાહક સાથે યોગ્ય ન્યાય કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:09 pm

હેરીટેજ સ્મારકો પ્રત્યે કોર્પોરેશનનું ઉદાસીન વલણ:અસારવામાં આવેલી દાદા હરીની વાવની દુર્દશા, પ્રવાસીઓ પરત ફરવા મજબૂર બન્યાં

આજે 18 એપ્રિલને વર્લ્ડ હેરીટેજ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરે વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મેળવ્યો છે. પરંતુ અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલ દાદા હરીની વાવમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલું છે. જેના કારણે ગંદકીની સાથોસાથ દુર્ગધ ફેલાય છે. આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સહિત હેરિટેજ વિભાગને અસારવાના રહીશો તરફથી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રના ઉદાસીનભર્યા વલણના કારણે વાવની મુલાકાતે આવતાં પ્રવાસીઓને દાદા હરીની વાતની મુલાકાત લીધાં વગર જ પરત ફરવું પડે છે. દાદા હરિની વાવ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છેઆ અંગે અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વાવો માટે પ્રખ્યાત રાજ્ય છે, એમાં ય અમદાવાદ તો એને માટે બહુજ પ્રખ્યાત છે. જેટલી પ્રખ્યાત અડાલજની વાવ છે એટલી જ પ્રખ્યાત અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરિનીની વાવ છે. શહેરમાં ઘણી બધી વાવ આવેલી છે. જેમાં દાદા હરિની વાવ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઈ.સ. 1499માં બાંધવામાં આવેલી વાવ પાછળનો હેતુ ખૂબ ઉમદા હતો, વટેમાર્ગુઓને છાંયડો અને પાણી મળી રહે તે હેતુથી તેને બાંધવામાં આવી હતી. આ વાવની બાંધણીમાં ખૂબ નજાકત જોવા મળે છે. પક્ષીઓ, પ્રાણીઓ અને મનમોહક આકૃતિઓ જોવા મળશેઘણી જગ્યાએ કરાયેલું નકશીકામ મનમોહક છે. વરસો વિતતા છતાં વાવના નકશી કામમાં પણ ઉમેરો થતો ગયો. અષ્ટકોણ પ્રકારની વાવ હિન્દુ અને ઈસ્લામિક આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે. જેમ જેમ તમે વાવમાં ઉપરના પગથિયા ચઢતાં જશો તેમ તેમ પક્ષીઓ, પ્રાણીઓ અને મનમોહક આકૃતિઓ જોવા મળશે અને સાથે સાથે તમને સંસ્કૃત અને એરેબિક ભાષામાં લખાણ પણ જોવા મળશે.આ વાવમાં વરસાદી પાણી છલોછલ ભરાયેલું છે. આ અંગે તેમણે અમદાવાદ મ્યુનિ. કમિશનર તથા વડોદરા સ્થિત આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના સુપ્રિટન્ડન્ડીંગ આર્કિયોલોજીસ્ટને અસારવામાં આવેલ ઐતિહાસિક દાદા હરી વાવ ખાતે લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યા અને રાષ્ટ્રીય સ્મારકની અવગણના બાબત તાત્કાલિક કાર્યવાહી અંગે લેખિત રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ સ્મારકની યોગ્ય દેખરેખ અને જાળવણીમાં ગંભીર બેદરકારી તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, દાદા હરીની વાવ ભારતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્મારકોમાં સ્થાન ધરાવે છે.તાજેતરમાં સ્થળ મુલાકાત દરમિયાન, મુલાકાતીઓના અભિપ્રાયો અને અગાઉ સમાચાર પત્રોમાં છપાયેલ તસ્વીરોના આધારે સ્પષ્ટ થાય છે કે વાવની અંદર અને આસપાસના વિસ્તારમાં મોટા પાયે પાણીનો ભરાવો (water logging) થયેલ છે. ગયા વરસાદી મોસમથી આ પાણી સતત ભરાયેલું છે અને આજદિન સુધી સંબંધિત તંત્ર દ્વારા તેને દૂર કરવામાં આવ્યું નથી, જે અત્યંત ચિંતાજનક બાબત છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે આ મહત્વપૂર્ણ સ્મારકની યોગ્ય દેખરેખ અને જાળવણીમાં ગંભીર બેદરકારી દાખવાઈ રહી છે. દાદા હરી વાવ માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી, પરંતુ અમદાવાદની સંસ્કૃતિ અને વારસાની ઓળખ છે. તેની આવી હાલત આપણા શહેર માટે શરમજનક છે.તો તાત્કાલિક તે પાણી પંપ વાટે ખાલી કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. વાવના સ્તંભો અને પાયાને શું થશે નુકસાન• ઐતિહાસિક રચનાને ગંભીર નુકસાન થવાની શક્યતા છે• પથ્થરની કોતરણી અને સ્થાપત્ય ધીમે ધીમે ક્ષય પામી રહ્યું છે• સ્થળ પર સ્વચ્છતાનો અભાવ અને ગંદકી જોવા મળે છે• પ્રવાસીઓ માટે જોખમજનક અને અસુવિધાજનક પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. શું છે માંગણીઓ? 1. વાવમાંથી તાત્કાલિક પાણી કાઢવા માટે ડ્રેનેજ અને પંપિંગ વ્યવસ્થા કરવી2. પાણી ભરાવાનું મૂળ કારણ શોધીને સ્થાયી ઉકેલ લાવવો3. સ્થળ પર નિયમિત સફાઈ અને મેન્ટેનન્સ સુનિશ્ચિત કરવું4. ASI દ્વારા ટેકનિકલ સર્વે કરીને ઐતિહાસિક બંધારણને સુરક્ષિત કરવું5. પર્યટકો માટે સલામતી અને સુવિધાઓમાં સુધારો કરવો6. જવાબદાર વિભાગો સામે જવાબદારી નિર્ધારિત કરવી સ્થાપત્યનો ત્રિવેણી સંગમદાદા હરિની વાવ સ્થાપત્યનો ત્રિવેણી સંગમ છે. જ્યાં વાવ, મસ્જિદ અને રોઝો એમ ત્રણેય એક સાથે જોવા મળે છે. દાદા હરિની વાવ તરીકે ઓળખાતી આ વાવ આમ તો બેગડાના સમયમાં અંત:પુરની દાસી પ્રકારની મહિલા હરિબાઈ જેનું કામ રાણીના સંતાનોને સ્તનપાન કરાવવાનું હતું તેની યાદમાં 1499માં બંધાઈ છે. આવી બાઈઓને અંત:પુરની સર્વાધિકારીણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભદ્ર પ્રકારની આ વાવ હિન્દુ સ્થપતિએ બાંધી છે પણ ઈસ્લામિક સ્ટાઈલમાં જે તે સમયના સ્થાપત્યમાં પણ એકતાનું પ્રતિક છે. બાંધકામની યોજનામાં બે-ત્રણ-ચારના ગુણાકારમાં તેનું નિર્માણ થયું છે. અહીં સ્થાપત્યનો ત્રિવેણી સંગમ સર્જાયો છે એટલે આ સ્થળ વટેમાર્ગુઓ માટે વિસામો કરવાનું હશે એવું માની શકાય. વાવમાં કુવાની બાજુમાં નીચે જવા માટે સર્પાકાર સીડી આવેલી છે, જે જુદા ઝરુખાના સ્તર પરથી નીચે જાય છેA. મુખ્ય કૂવો, અષ્ટકોણીય.B. સર્પાકાર નિસરણી જે પાણીની સપાટી સુધી જાય છે.C. સિંચાઈ માટેનો કૂવો.D. બાજુના ઝરુખામાંનું લખાણ.E. છત્રીકાર બાહ્ય પ્રવેશદ્વાર. ઉપરનો ઝરુખો દાદા હરિની વાવમાં જોવા લાયક શું છે?દાદા હરિની વાવને ભદ્ર પ્રકારની વાવ કહી શકાય. બે પ્રવેશદ્વાર અને છ માળની વાવની લંબાઈ 241.5 ફૂટ છે. જ્યારે અંદરના મંડપ 16 ફૂટના છે. તેમાં પણ અષ્ટકોણ કૂવાનો અંદરનો ચોરસ ભાગ 24 ફૂટનો છે. જો કે આ વાવના થાંભલા સાદા છે અને પગથિયા ઉતરતી વખતે દરેક બેઠકમાં ગોખલા મૂકેલા છે. તેમાં દેવી દેવતાના શિલ્પો જોવા મળે છે જો કે હવે તો આ શિલ્પો ઘસાઈ ગયા હોવાથી સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી. અડાલજની વાવ પછી આ વાવ સ્થાપત્યની રીતે જોતાં મુલાકાતીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. વાવની મુલાકાતનો સમય સવારે ૯થી સાંજે પ સુધીનો છે. કોઈ એન્ટ્રી ફી નથી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:03 pm

વડોદરામાં રક્તદાન શિબિર યોજાઈ:માતા હરદેવીની પુણ્યતિથિ નિમિત્તે સજ્જણ દરબાર દ્વારા આયોજન

વડોદરાના વારસિયા વિસ્તારમાં સંતકંવર નગર ખાતે સજ્જણ દરબાર દ્વારા માતા હરદેવી (સજ્જણ)ની 40મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર 18 એપ્રિલ 2026 , શનિવારના રોજ સવારે 9:30 કલાકથી યોજાઈ હતી. આ રક્તદાન શિબિરનું આયોજન ટી/29, 445 કોટ એરિયા, એસ.કે. કોલોની, ઝુલેલાલ મંદિર મેઈન રોડ, વારસિયા, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નગરજનોએ રક્તદાન કરીને સામાજિક ફરજ નિભાવી હતી. શિબિરમાં એકત્રિત થયેલ રક્ત યુનિટ્સ આયુષ બ્લડ બેંક અને સયાજી હોસ્પિટલ બ્લડ બેંકને મોકલવામાં આવ્યા હતા. આનાથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકશે. આયોજક અનિલ ટોલાણીએ જણાવ્યું હતું કે, આ શિબિરનો હેતુ વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, એકવારનું રક્તદાન ત્રણ લોકોને જીવનદાન આપી શકે છે. તેથી, દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે રક્તદાન કરવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:53 pm

પાકિસ્તાની લીગમાં ક્રિકેટરની ભારે ફજેતી થઈ!:લલિત મોદીએ સંજીવ ગોએન્કાને 'જોકર' કહ્યા; કોલકાતા વાળાએ અજીબોગરીબ પ્રેક્ટિસ કરી; જુઓ VIDEO

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:50 pm

AAPએ જાહેર કર્યો મેનિફેસ્ટો:રોજગારથી લઈને ડિજિટલ સેવાઓ સુધીના વાયદા, હેલ્થ-શિક્ષણ પર ખાસ ફોક્સ કરાશે

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને અમદાવાદના વિકાસ માટે મોટા વાયદા કર્યા છે. મેનિફેસ્ટો પર વિસ્તારપૂર્વક જણાવતા આમ આદમી પાર્ટીના મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડો. જ્વેલ વસાવાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર માત્ર એક શહેર નથી, પરંતુ વિશેષરૂપે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોનો સમાવેશ કરે છે. તાલુકાની સીમા બાદ પણ તેનો વિસ્તાર વધતો જાય છે. તેમનું કહેવું છે કે આજકાલ સામાન્ય લોકો, ખાસ કરીને સ્ત્રીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી જ્યારે કોર્પોરેશનમાં સત્તામાં આવશે ત્યારે લોકોના અધિકારો માટે કામ કરશે. તેઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય, પર્યાવરણ જેવી બાબતોમાં પારદર્શિતા લાવવામાં આવશે. 1. સ્વચ્છ, પારદર્શક, ભ્રષ્ટાચારમુક્ત શાસનનો ઉદ્દેશ્યAMCના દરેક નિર્ણયોમાં પારદર્શિતા રહેશે. તમામ ટેન્ડર અને કોન્ટ્રાક્ટ પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે ઓનલાઈન અને લાઈવ પબ્લિક ઓડિટ હેઠળ કરવામાં આવશે. લોકો માટે 7 દિવસમાં ફરિયાદ નિવારણ માટે કડક સમયમર્યાદા રહેશે. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે. AMCના તમામ ખર્ચ અને પ્રોજેક્ટની વિગતો ઓનલાઈન જાહેર કરવામાં આવશે. 2. પાણી, ગટર અને મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિતપાણી અને ગટર શહેરના જીવનનો આધાર છે. દરેક ઘરમાં 24x7 શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાણીની લીકેજ અને બગાડ અટકાવવા માટે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ગટર સિસ્ટમનું સંપૂર્ણ રિડિઝાઇન અને આધુનિકીકરણ કરવામાં આવશે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો વૈજ્ઞાનિક ઉકેલ લાવવામાં આવશે અને ગંદા પાણીના રીસાયક્લિંગ માટે STP સુવિધા વિકસાવવામાં આવશે. 3. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવાશેદરેક નાગરિકને ગુણવત્તાયુક્ત અને મફત પ્રાથમિક આરોગ્ય સેવા મળશે. દરેક ઝોનમાં આધુનિક ‘મહાનગર આરોગ્ય કેન્દ્ર’ બનાવવામાં આવશે. મફત ટેસ્ટ, દવાઓ અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ રહેશે. 24x7 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકાશે. પ્રાઈવેટ હોસ્પિટલ પર સખત નિયંત્રણ અને પારદર્શિતા લાવવામાં આવશે. 4. શિક્ષણ ક્રાંતિ પર ભાર મૂકાયોશિક્ષણ શહેરના ભવિષ્યનો આધાર છે. AMC શાળાઓને સંપૂર્ણ રીતે સુધારીને આધુનિક બનાવવામાં આવશે. દરેક વર્ગમાં ડિજિટલ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શિક્ષકો માટે નિયમિત તાલીમ અને ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે. ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ અને સ્કોલરશિપ યોજનાઓ ખાસ અમલમાં મૂકાશે. 5. સ્માર્ટ અમદાવાદ બનાવવા રોડ, ટ્રાફિક, જાહેર પરિવહન વ્યવસ્થામાં સુધારો100% ખાડા મુક્ત રોડ નેટવર્ક બનાવવામાં આવશે અને સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ સાથે AI આધારિત સિગ્નલ મેનેજમેન્ટ લાગુ કરવામાં આવશે. બસ સેવા (BRTS સહિત) નો વિસ્તાર અને સમયસરતા સુધારવામાં આવશે, સાયકલ ટ્રેક અને પેડેસ્ટ્રિયન ઝોનનો વિકાસ કરવામાં આવશે અને પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. 6. સ્વચ્છતા-પર્યાવરણ માટે ‘સ્વચ્છ અમદાવાદ, સમૃદ્ધ અમદાવાદ’ અભિયાન ચલાવાશેદરરોજ ડોર-ટુ-ડોર કચરો સંગ્રહ કરવામાં આવશે અને કચરાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ અને રિસાયક્લિંગ સુનિશ્ચિત કરવામાં આવશે. પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન હાથ ધરાશે, દર વોર્ડમાં ગ્રીન ઝોન અને પાર્કનો વિકાસ કરવામાં આવશે અને પ્રદૂષણ નિયંત્રણ માટે સખત નિયમો લાગુ કરવામાં આવશે. 7. રોજગાર-સ્થાનિક વિકાસ માટે યુવાનોને રોજગારી આપવી પ્રાથમિકતાદરેક ઝોનમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં આવશે અને સ્ટાર્ટઅપ તથા MSME માટે સરળ લાઈસન્સિંગ વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટ્રીટ વેન્ડર્સ માટે સુરક્ષા અને ઝોનિંગની સુવિધા આપવામાં આવશે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે અને રોજગાર મેળા તેમજ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. 8. મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે ખાસ યોજનામહિલાઓ માટે સુરક્ષિત જાહેર પરિસર અને CCTV નેટવર્ક મજબૂત બનાવાશે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ કાર્ડ અને સહાય યોજનાઓ આપવામાં આવશે. બાળકો માટે આરોગ્ય, પોષણ અને શિક્ષણની સુવિધાઓ સુધારવામાં આવશે. મહિલા સશક્તિકરણ માટે સ્વરોજગાર યોજનાઓ હેઠળ તાલીમ કેન્દ્રો ઉભા કરાશે. 9. તમામ AMC સેવાઓ સંપૂર્ણપણે ઓનલાઈન કરાશેમોબાઈલ એપ દ્વારા ફરિયાદ અને ટ્રેકિંગ સિસ્ટમ ઉપલબ્ધ રહેશે. AI આધારિત સિટી મેનેજમેન્ટ લાગુ કરવામાં આવશે. રિયલટાઈમ ડેટા આધારિત ટ્રાફિક અને પાણી મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે અને ‘વન સિટી, વન ડેશબોર્ડ’ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. નાગરિક અધિકાર પત્ર હેઠળ અમદાવાદના દરેક નાગરિકને મૂળભૂત અધિકારો સરળતાથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષના વિસ્તારમાં જ વિરોધ: ગોપાલ રાયઆમ આદમી પાર્ટી પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે આ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપના ઉમેદવારો મેદાનમાં જઈ રહ્યા છે ત્યારે જનતા તેમનો વિરોધ કરી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષના મતવિસ્તારમાં જ ભાજપના ઉમેદવારનો જનતા દ્વારા વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના અનેક વોર્ડમાં, સુરતમાં, રાજકોટમાં અને વડોદરામાં ભાજપના ઉમેદવારોનો જનતા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપને પણ તેમના સર્વેમાં જાણ થઈ ગઈ હશે કે જો તેઓ પોલીસ તંત્રનો દુરુપયોગ નહીં કરે તો જનતા તેમની વિરુદ્ધમાં છે. અને જનતા શા માટે વિરોધમાં છે? ‘ભાજપે અત્યાર સુધી શું કર્યું?’આજે આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના અધ્યક્ષે તમારી સામે અમદાવાદ મહાનગરપાલિકાનો મેનિફેસ્ટો રજૂ કર્યો છે. આમ આદમી પાર્ટીનો મેયર બન્યા પછી આમ આદમી પાર્ટી મહાનગરપાલિકામાં શું કરશે તે તમામ વાતો તેમાં રજૂ કરાઈ છે. ભાજપે અત્યાર સુધી શું કર્યું છે? તમે મહાનગરપાલિકામાં ગમે ત્યાં જાઓ, રસ્તાઓની શું હાલત છે તે બધા જાણે છે. પુલ બને છે અને પડી જાય છે. આ જ શહેરમાં, જેને ગુજરાતનું હૃદય કહેવામાં આવે છે, ત્યાં એક પુલ પડી ગયો અને ત્યાંના લોકોનો વેપાર-ધંધો ઠપ થઈ ગયો છે. તે પુલ ક્યારે બનશે તેનું કોઈ ઠેકાણું નથી. તેમાં જનતાના સરકારી નાણાં ખર્ચાયા છે. ‘અમદાવાદમાં શાળા-હોસ્પિટલની હાલત ખરાબ’આજની તારીખમાં તમે અમદાવાદ મહાનગરપાલિકાની કોઈપણ સરકારી શાળામાં જશો, તો તમને જોવા મળશે કે લોકો મજબૂરીમાં પોતાના બાળકોને ત્યાં ભણવા મોકલે છે. જેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, તેઓ જ આ શાળાઓમાં બાળકોને મોકલે છે. તેવી જ રીતે મહાનગરપાલિકાની હોસ્પિટલોની હાલત પણ ખૂબ જ ખરાબ છે. ‘જેમ જેમ કચરાનો પહાડ વધ્યો, તેમ તેમ ભ્રષ્ટાચાર પણ વધ્યો’ભાજપને આટલા વર્ષો સુધી શાસન કરવાની તક મળી, છતાં તેઓ આ વ્યવસ્થાઓ કેમ સુધારી શક્યા નથી? આજે અમદાવાદમાં ભાજપ શાસિત મહાનગરપાલિકાની બે ઓળખ છે: એક તો ભ્રષ્ટાચારનો ઊંચો પહાડ અને બીજો પીરાણાનો કચરાનો પહાડ. લોકો દર વર્ષે ભાજપને જીતાડતા રહ્યા અને ભાજપ કચરાના પહાડો બનાવતી રહી. જેમ જેમ કચરાનો પહાડ વધ્યો, તેમ તેમ ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. ‘કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી’અમદાવાદના લોકોનું કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી. તેથી, હું અમદાવાદના તમામ મતદારોને અપીલ કરું છું કે તમે 40 વર્ષ સુધી ભાજપને તક આપી છે, હવે એક વાર પરિવર્તન લાવો. એક તક આમ આદમી પાર્ટીને આપો, જેની ઓળખ તેના કામથી છે. ‘અમદાવાદની સત્તા સાચા હાથમાં આવશે, તો મોટું પરિવર્તન આવશે’અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ 18,518 કરોડ રૂપિયા છે, જે નાની રકમ નથી. આ બજેટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને સાફ-સફાઈની વ્યવસ્થા સુધારી શકાય છે. જો અમદાવાદની સત્તા સાચા હાથમાં આવશે, તો શહેરમાં મોટું પરિવર્તન આવશે. આમ આદમી પાર્ટી પાસે પરિવર્તનનો અનુભવ છે અને અમારા કોર્પોરેટરો તે દિશામાં કામ કરશે. ગુજરાતમાં જે પરિવર્તનની લહેર શરૂ થઈ છે, તે આ સ્થાનિક ચૂંટણીઓમાં વધુ મજબૂત બનશે. ભાજપના દબાણ અને ખોટી એફઆઈઆર છતાં પણ અમારા 5000થી વધુ ઉમેદવારો મેદાનમાં છે અને તેમને જનતાનું સમર્થન મળી રહ્યું છે. આ અમારી જીત છે. હું ફરીથી લોકોને અપીલ કરું છું કે આ વખતે પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને મત આપો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:24 pm

210 કરોડનો સાયબર ફ્રોડ કરનાર ગેંગને સાયબર ક્રાઈમે દબોચી:દેશની 15થી વધુ બેન્કો હેક કરી, ટેક્નિકલ એરરથી એક રાતમાં જ 7 કરોડ ચાઉં; ભાવનગરના 135 એકાઉન્ટ કર્યા'તા ટાર્ગેટ

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય સાયબર ગઠિયાઓની એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેણે દેશભરની 15થી વધુ બેંકોને નિશાન બનાવી અંદાજે 210 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું છે. વડોદરા સ્થિત આ ગેંગે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને માત્ર ધૂળેટીની એક રાતમાં 7 કરોડથી વધુની રકમ ચાઉં કરી લીધી હતી. 210 કરોડની છેતરપિંડી અને 273 ગુનાસાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ ગેંગ માત્ર ભાવનગર બેંક સુધી સીમિત નહોતી, પરંતુ તેઓ દેશના આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં સક્રિય હતા. અત્યાર સુધીની તપાસમાં આ ગેંગ 273 જેટલા સાયબર ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું અને કુલ 210 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનું ખૂલ્યું છે. ટેક્નિકલ એરરનો ફાયદો ઊઠાવીને ફ્રોડનો ખેલ ખેલ્યોતપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ બેંકના CBS (કોર બેંકિંગ સર્વિસ) સોફ્ટવેરમાં રહેલી ટેક્નિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી આ આખું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડની કાર્યપદ્ધતિ મુજબ, હેકર્સે સૌપ્રથમ બેંકના જૂના અને નિષ્ક્રિય (dormant) એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા અને તે એકાઉન્ટધારકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલીને પોતાના નંબર એક્ટિવ કરી દીધા હતા. ત્યારબાદ, સિસ્ટમની આ ખામીનો ફાયદો ઉઠાવી તેમણે એકાઉન્ટમાં 7.34 કરોડની રકમ વર્ચ્યુઅલી જનરેટ કરી હતી. અંતે, આ રકમને સગેવગે કરવા માટે તેમણે સામાન્ય લોકો પાસેથી આર્થિક લાલચ આપી ભાડેથી મેળવેલા 135 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પોલીસવડાની મદદથી ઓપરેશન પાર પાડ્યુંઆ સમગ્ર ઓપરેશન ગુજરાત રાજ્યના પોલીસ વડા (CID ક્રાઇમ અને રેલ્વેઝ) ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ તથા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. ડોડીયા, એચ.જે. પરમાર તથા એચ.વી. દેસાઇની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી જટિલ તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિવિધ રાજ્યોમાંથી ગેંગના સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી 9 પાસબુક, 39 ડેબિટ કાર્ડ, 12 ચેકબુક અને 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને છેતરપિંડીથી મેળવેલી રકમ પૈકી 2.04 કરોડની રકમ ફ્રીઝ કરી દીધી છે, જેથી આરોપીઓ આ પૈસાનો દુરુપયોગ કરી શકે નહીં. મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની સંગઠિત ગેંગ બેંકિંગ સિસ્ટમની ટેક્નિકલ ખામીઓનો લાભ લઈને વ્યાપક સ્તરે છેતરપિંડી કરે છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ હજુ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.”

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:19 pm

સિનિયર સિટિઝનને 'ડિજિટલ એરેસ્ટ' કરનાર 4 આરોપી જયુડીશીયલ કસ્ટડીમાં:3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન, રૂ. 1.11 કરોડની છેતરપિંડી આચરી હતી

વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સિનિયર સિટિઝન સાથે રૂ. 1.11 કરોડની છેતરપિંડી આચરનાર ચાર આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ પુરા થતા જયુડીશીયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યાં છે. આ મામલે 3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ કેસમાં, ઉમરગામના 69 વર્ષીય ફરિયાદીને 28 સપ્ટેમ્બર 2024ના રોજ આરોપીઓએ ફોન કર્યો હતો. આરોપીઓએ પોતાને ક્રાઇમ બ્રાન્ચ, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના અધિકારી તરીકે ઓળખાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. તેમણે ફરિયાદીને જણાવ્યું કે, તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે. ત્યારબાદ, આરોપીઓએ સ્કાયપે (Skype) વિડિયો કોલ દ્વારા ફરિયાદીને 'ડિજિટલ એરેસ્ટ' કર્યા હતા. વીડિયો કોલ દરમિયાન, આરોપીઓએ બનાવટી કોર્ટ રૂમ અને ન્યાયાધીશ જેવું વાતાવરણ ઊભું કરી ફરિયાદીને જેલમાં જવાની ધમકી આપી હતી. આ ડરના કારણે ફરિયાદીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 1,11,11,111/- ટ્રાન્સફર કરી દીધા હતા. આ રૂપિયા દુબઇના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાં દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મુકેશ પોલેકર, જય જમન રાખ, રોહિતકુમાર નિતેશ મુંજાણી અને નિર્મળ નીતિન સોલંકી (તમામ રહે. કતારગામ, સુરત)નો સમાવેશ થાય છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન કેસમાં સંડોવાયેલા ઇસમોની માહિતી મેળવી આગળની તાપસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા ચાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ફરિયાદીના અંદાજે 21 લાખ રૂપિયા હોલ્ડ કરાવી રિફંડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં આશિષ અરવિંદ પટેલ, સની અને હર્ષિલ નામના અન્ય ત્રણ આરોપીઓ હજુ વોન્ટેડ છે, જેમને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે છેતરપિંડીના આ નાણાં દુબઈ સ્થિત વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વલસાડ પોલીસે જનતાને અપીલ કરી છે કે, કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ દ્વારા કોઈની ધરપકડ કરતી નથી કે નાણાંની માંગણી કરતી નથી. જો આવો કોઈ કોલ આવે તો ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:19 pm

વડોદરામાં માલિકની મંજૂરી વગર બરોબર કારનો સોદો કરી નાખ્યો:સંખેડામાં રહેતા વેપારીએ ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ 7.50 લાખ રૂપિયામાં વેચી નાખી, 2 સામે પોલીસ ફરિયાદ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં રહેતા એક વેપારીએ પોતાની કાર વડોદરાના તરસાલી ખાતે રહેતા તેમના ઓળખીતાને ભાડે ફેરવવા માટે આપી હતી. પરંતુ, ઓળખીતાએ વેપારીની જાણ બહાર કાર બોડેલી ખાતે રહેતા એક શખ્સને બારોબાર વેચ રૂપિયા 7.50 લાખમાં વેચી નાખી હતી. જેથી વેપારીએ કાર મંજૂરી વગર વેચી નાખનાર તેમજ ખરીદનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. છોટાઉદેપુરના સંખેડામાં જુમ્મા મસ્જિદ પાછળ રહેતા વસીમખાન સબ્બીરખાન પઠાણ (ઉ.વ.37) પોતાના પરિવાર સાથે રહે છે અને સંખેડા ચોકડી ખાતે ફૂટની લારી ચલાવી જીવન ગુજરાન કરે છે. તેમણે નવેમ્બર-2024માં પોતાના ઘર તથા ભાડે ચલાવવા માટે બેંક ઓફ બરોડાની લોન લઈને 13.10 લાખ રૂપિયામાં મારૂતી સુઝુકી કંપનીની એર્ટિગા કાર ખરીદી હતી. જેનો માસિક હપ્તો 18,300 રૂપિયા હતો. પરંતુ કારને પૂરતું ભાડું ન મળતાં હપ્તા ભરવામાં મુશ્કેલી ઊભી થતા તેમણે મે-2025માં પોતાના ઓળખીતા રશુલશા નાઝરશા દિવાન (રહે. નવીનગરી, તરસાલી, વડોદરા)ને કાર ભાડે આપેલ હતી. બંને વચ્ચે દર મહિને 31 હજાર રૂપિયા ભાડું નક્કી થયું હતું. શરૂઆતના બે મહિના સુધી ભાડું મળ્યું, પરંતુ ત્યારબાદ ચુકવણી બંધ થઈ ગઈ હતી. અવારનવાર ઉઘરાણી છતાં પૈસા ન મળતાં વસીમખાને કાર પરત માંગતા રેશુલશા દિવાને જણાવ્યું હતું કે, તેણે કાર બોડેલી ખાતે રહેતા હિમાંશુ ઉર્ફે સન્ની અગ્રવાલ, અગ્રવાલ કાર એસેસરીઝ (અલીપુરા ચાર રસ્તા, બોડેલી)ને અંદાજે રૂ. 7.50 લાખમાં વેચી નાંખી છે. જેથી સમગ્ર મામલે વસીમખાન પઠાણે રશુલશા નાઝરશા દિવાન અને હિમાશુ ઉર્ફે સન્ની અગ્રવાલ સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:11 pm

જુનાગઢ BKNMU પદવીદાન સમારોહ યોજાયો:ધર્મ એટલે વાડાઓ નહીં પણ ઉમદા આચરણ જૂનાગઢમાં BKNMU ના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમજાવ્યો ધર્મનો સાચો અર્થ,27,476 વિદ્યાર્થીઓને પદવી એનાયત

​જૂનાગઢની પવિત્ર ધરતી પર વંથલી રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ ગરિમાપૂર્ણ પદવીદાન સમારોહ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલે માત્ર પદવીઓ જ એનાયત નથી કરી, પરંતુ ઉપસ્થિત હજારો વિદ્યાર્થીઓને જીવનના સાચા માર્ગ અને ધર્મની સાચી વ્યાખ્યા સમજાવીને એક નવી દ્રષ્ટિ પૂરી પાડી હતી. કાર્યક્રમમાં આઈ.આઈ.એમ. અમદાવાદના પૂર્વ પ્રોફેસર પદ્મશ્રી અનિલકુમાર ગુપ્તાએ પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ​રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં ધર્મ વિશે ખૂબ જ ગહન અને મનનીય વાત કરી હતી. તેમણે વર્તમાન સમયમાં ધર્મના નામે ઊભા થયેલા વાડાઓ પર ટકોર કરતા જણાવ્યું હતું કે, પ્રાચીન કાળમાં ધર્મ ક્યારેય સંપ્રદાયોમાં વહેંચાયેલો નહોતો. આજે આપણે ધર્મને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન કે બૌદ્ધ જેવા અખાડાઓમાં વહેંચી દીધો છે અને તેના કારણે જ માનવ-માનવ વચ્ચે અંતર અને ઉંચ-નીચના ભેદભાવ ઊભા થયા છે. રાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે સાચો ધર્મ એ આચરણની બાબત છે. ​ધર્મની વ્યાખ્યા આપતા તેમણે 'સ્વસ્ય ચ પ્રિય આત્મના પરેશામ ન સમાચરેત' શ્લોકનો સંદર્ભ આપ્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે જે વર્તન આપણે આપણા માટે ઈચ્છીએ છીએ, તેવું જ વર્તન આપણે બીજા માટે કરવું જોઈએ. જો આપણે ઈચ્છીએ કે કોઈ આપણી સાથે જૂઠું ન બોલે, આપણી વસ્તુની ચોરી ન કરે અથવા આપણી બહેન-દીકરીને ખરાબ નજરથી ન જુએ, તો આપણે પણ અન્ય સાથે તેવું જ આચરણ રાખવું જોઈએ. બીજા સાથે નમ્રતા અને માનવીય અભિગમ રાખવો એ જ સાચો ધર્મ છે અને આ સંસ્કારો જ વિદ્યાર્થીઓને સાચા અર્થમાં શિક્ષિત બનાવે છે. ​શૈક્ષણિક સિદ્ધિઓની વાત કરીએ તો, આ સમારોહમાં યુનિવર્સિટીની 6 ફેકલ્ટીના કુલ 27,476 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં આર્ટસમાં સૌથી વધુ 9805, કોમર્સમાં 6871 અને શિક્ષણ ક્ષેત્રે 2534 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લો, સાયન્સ, મેનેજમેન્ટ અને મેડિસિન જેવી વિવિધ વિદ્યાશાખાઓના હજારો વિદ્યાર્થીઓએ પોતાની પદવી હાંસલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 36 તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા, જ્યારે 109 સંશોધકોને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ​આ પદવીદાન સમારોહમાં પીએચ.ડી. મેળવનાર ડૉ. સૃષ્ટિ પરમારે પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલી આ સર્વોચ્ચ પદવી પાછળની મહેનતનો શ્રેય ગુરુજનો અને યુનિવર્સિટીને આપ્યો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોને ટાંકીને જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થી અને સમાજ ખભેખભા મિલાવીને કાર્ય કરશે ત્યારે જ રાષ્ટ્ર નિર્માણ શક્ય બનશે. વર્ષ 2047 માં જ્યારે ભારત આઝાદીના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે, ત્યારે ભારતને 'વિશ્વગુરુ' બનાવવામાં આજના આ યુવા સંશોધકોનો પાયાનો ફાળો રહેશે. ​યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ અને રજિસ્ટ્રાર પરમાર સાહેબ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે આ ડિગ્રી માત્ર કાગળના ટુકડા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તેઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કાર્યરત રહેશે. જૂનાગઢના આંગણે યોજાયેલો આ સમારોહ શૈક્ષણિક અને આધ્યાત્મિક ચેતનાનો અનોખો સંગમ સાબિત થયો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:09 pm

ચૂંટણી પહેલા ભાવનગર પોલીસ એક્શનમાં:વરતેજ પોલીસે ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો

ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાસતા-ફરતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવામાં આવી રહી છે જે અંતર્ગત વરતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ભંડારીયા હાઈવે પર આવેલી 'ઓજ સંસ્થા'માં તોડફોડ કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર જયપાલસિંહ ગોહિલને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું, ભાવનગર જિલ્લામાં આગામી ચૂંટણીના માહોલને ધ્યાને રાખીને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાના પગલે વરતેજ પોલીસ સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરતા ખંડણી અને ધમકીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો, ​વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડારીયા ગામ હાઈવે રોડ પર નવનિર્મિત થતી 'ઓજ સંસ્થા' ખાતે રેતી નાખવા બાબતે વિવાદ સર્જાયો હતો, આ કામના આરોપીએ સંસ્થાના માણસો સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, બળજબરીથી પૈસા પડાવવાના ખંડણી ઈરાદે સંસ્થાની મિલકતને નુકસાન પણ પહોંચાડ્યું હતું, ​આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 308(5), 332(સી), 351(3), 352, 324(5) મુજબ ગુનો નોંધ્યો હતો, જે આધારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી ભંડારીયા ગામનો રહેવાસી જયપાલસિંહ મહાવિરસિંહ ગોહિલ ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:09 pm

ખડગેના વિરોધમાં બેનર લાગતા આચારસંહિતા ભંગની ફરિયાદ:ધારાસભ્ય યોગેશ પટેલના નામ સાથે લાગેલા બેનર મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ

વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નામે શહેરના જાહેર માર્ગ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં મોટા બેનર લગાવવા આવ્યા છે. જે અંગે આચર સંહિતાના ભંગ અંગેની ફરિયાદ વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કરવામાં આવી છે. આચારસંહિતાના અમલ વચ્ચે 10 દિવસથી બેનર યથાવતવિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીને ફરિયાદ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 10 દિવસથી જગજાહેર આચારસંહિતા ભંગ કરી, તેમજ રોડ રસ્તા તોડી, ખાડા પાડી રોડ વચ્ચે ગેરકાયદેસર હોર્ડિંગ લગાવવામા આવ્યું છે. તેમ છતાં ધારાસભ્યના ગેરકાયદેસર કૃત્ય સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે, આ બેનર મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા તેને સાચું ઠરાવી રહ્યું હોય તેમ લાગે છે. તાત્કાલિક હોર્ડિંગ દૂર કરવા માગશૈલેષ અમીને ફરિયાદમાં જણાવ્યું છે કે, તાત્કાલિક આચારસંહિતા ભંગ કરતુ હોર્ડિંગ દુર કરો, હોર્ડિંગ લગાવનાર પર આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરો અને વડોદરામાં કથળેલી કાયદો અને વ્યવસ્થા સાથે લોકશાહી જળવાઈ રહે તેવી બંધારણીય ચુંટણી પ્રક્રિયાનું થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. બેનર પર શું લખ્યું છે?વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રોડ ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જે બેનર ધારાસભ્ય યોગેશ પટેલના નામે લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, ' ખડગે સાહેબ જવાબ આપો, શ્રી ફિરોઝ ગાંધી ગુજરાતી હતા તો શું ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મૂર્ખ સાથે લગ્ન કર્યા હતા?

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 4:05 pm

મનરેગાના કર્મીઓનું 6 માસનું વેતન બાકી:3 મહિનાથી શ્રમિકોને મજૂરી ન ચૂકવાયાનો કોંગ્રેસનો દાવો, કહ્યું મનરેગા યોજનાને સંપૂર્ણ નાશ કરવાનું પાપ ભાજપે કર્યું

દેશના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી 'મનરેગા' (MGNREGA) યોજનાને ભાજપ અને મોદી સરકાર નબળી પાડી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે, આ યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી, જ્યારે શ્રમિકોને પણ 3 મહિનાથી મજૂરી મળી નથી. 2014 પછી મનરેગા કાયદાને નબળો પાડવામાં આવ્યો: ડૉ. મનીષ દોશીગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જે કોરોના કાળ દરમિયાન ગ્રામીણ જીવન માટે સંજીવની સમાન સાબિત થઈ હતી. આ યોજનાને કારણે શહેરો તરફ થતું સ્થળાંતર અટક્યું હતું. પરંતુ, 2014 પછી કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારે આ કાયદાને સતત નબળો પાડવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મનરેગામાં નિયમ મુજબ 100 દિવસની રોજગારી આપવી ફરજિયાત છે, પરંતુ ગુજરાતમાં માત્ર 21થી 24 દિવસ જ રોજગારી આપવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર અને ગ્રામ્ય વિરોધી નીતિના આક્ષેપોડૉ. દોશીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને સરકારની ગ્રામ્ય વિરોધી નીતિના કારણે આ યોજના કમજોર બની છે. ભાજપ સરકારે પહેલા યોજનાનું નામ બદલ્યું અને હવે તેને 'તાળું મારવાનું' (બંધ કરવાનું) કામ કરી રહી છે. ગુજરાતમાં હાલ 20.80 લાખ સક્રિય શ્રમિકો નોંધાયેલા છે. આશરે 10 લાખ ગ્રામીણ પરિવારો મનરેગા પર નિર્ભર છે. 20 લાખથી વધુ શ્રમિકોના હિત માટે માંગણી કરતા જણાવ્યું કે, જે કર્મચારીઓને 6 મહિનાથી વેતન નથી મળ્યું અને જે શ્રમિકોને 3 મહિનાની મજૂરી બાકી છે, તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. ભાજપ સરકાર શ્રમિકોને તેમના હક્કથી વંચિત રાખીને પાપ કરી રહી હોવાનું પણ તેમણે અંતમાં જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:52 pm

માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

ગાંધીનગરના માધવગઢમાં ગઈકાલે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહના મોત મામલે હવે વિરોધનો વંટોળ વકર્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. શાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતુંગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે. ​ગઈકાલે સાંજે ક્રિકેટ રમી રહેલા 11 વર્ષીય બાળક પર અડધી તોડેલી સ્કૂલની દીવાલ કાળ બનીને ત્રાટકી હતી. આ ઘટનામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તેમજ ગુનાહિત લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે છતાં પણ વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિવારે અને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ મામલે કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં ન આવે અને તંત્રના જવાબદારો સામે પગલાં ન ભરાય ત્યાં સુધી તેઓ બાળકનો મૃતદેહ સ્વીકારશે નહીં. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર​સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પણ કલાકો સુધી લાશ પડી રહી છતાં વહીવટી તંત્રમાંથી હજુ સુધી કોઈ ઉચ્ચ અધિકારી આ પરિવારની વેદના સાંભળવા પહોંચ્યા નથી. ત્યારે પરિસ્થિતિ વણસતી જોઈ હોસ્પિટલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. એક તરફ રઘુનંદનના અકાળે અવસાનથી રાઠોડ પરિવારમાં આક્રંદ છવાયું છે. બીજી તરફ ન્યાય મેળવવા માટે તેમને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ધરણાં કરવાની નોબત આવી છે. ગામ લોકોનો એક જ સૂર છે કે આ માત્ર અકસ્માત નથી પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી હત્યા છે અને દોષિતોને સજા અપાવ્યા વિના તેઓ પીછેહઠ કરશે નહીં. જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:42 pm

આપના ડેડીયાપાડા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ રાજીનામું આપ્યું:ચૂંટણી પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના ગઢમાં ફટકો

આમ આદમી પાર્ટી (AAP)ના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પક્ષમાં થતી અવગણનાને કારણે રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. આ ઘટનાને ચૂંટણી પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક રાજકીય ફટકો માનવામાં આવે છે. વસાવાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે પ્રમુખ તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેમની અવગણના કરવામાં આવી રહી હતી. આથી, તેમણે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. રાજેન્દ્ર વસાવાએ દાવો કર્યો કે તેમણે ડેડીયાપાડા તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમણે ઉમેર્યું કે વર્ષ 2012 થી ડેડીયાપાડા વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવામાં તેમની અને તેમની ટીમની મહત્વની ભૂમિકા રહી છે, જેમાં બૂથથી લઈને વિધાનસભા સ્તર સુધી પાર્ટીને મજબૂત કરવાનો સમાવેશ થાય છે. તેમણે આરોપ લગાવ્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા હોય કે ચૂંટણીલક્ષી કોઈપણ નિર્ણય, તેમને તેની જાણ કરવામાં આવતી ન હતી કે તેમનું મંતવ્ય લેવામાં આવતું ન હતું. તેમને કોઈપણ કમિટીમાં સ્થાન અપાયું ન હતું અને ઉમેદવાર નક્કી કરતી વખતે પણ તેમની અવગણના કરવામાં આવી હતી. વસાવાએ વધુમાં દાવો કર્યો કે તેમને સતત નિશાન બનાવીને તેમની અવગણના કરવામાં આવી રહી હતી. નોંધનીય છે કે રાજેન્દ્ર વસાવા ધારાસભ્ય ચૈતર વસાવાના નિકટના મનાય છે. અગાઉ પણ ડેડીયાપાડાના અનેક AAP નેતાઓએ રાજીનામા આપ્યા છે, જે દર્શાવે છે કે ચૂંટણી પહેલા ચૈતર વસાવાના કેટલાક નિકટના સાથીઓએ તેમનો સાથ છોડ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:39 pm

ગોધરા વોર્ડ 1 માં ગટર-ગંદકીથી હાલાકી:રોડ અને મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ

ગોધરાના વોર્ડ નંબર 1 માં ગટર, ગંદકી અને રોડના અભાવ જેવી મૂળભૂત સુવિધાઓના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં કચરાના ઢગલા અને ખુલ્લી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. વરસાદી અને ગટરના પાણી ભરાઈ રહેવાને કારણે વિસ્તારનું મેદાન તળાવમાં ફેરવાઈ ગયું છે, જેમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્ટ્રીટ લાઈટ, પીવાનું શુદ્ધ પાણી અને પાકા રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ નથી.એક મહિલા સ્થાનિકે જણાવ્યું કે, અહીં ઘણી ગંદકી છે અને કોઈ સફાઈ કરવા આવતું નથી. ગટરનું પાણી અને કચરો અહીં જ ભરાયેલો રહે છે. અમે મચ્છરો વચ્ચે રહીએ છીએ અને નાના બાળકો વારંવાર બીમાર પડે છે. સ્થાનિક યુવાને ઉમેર્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના નામે માત્ર એક જ ગલીમાં રોડ બન્યો છે. બાકીના આખા વિસ્તારની હાલત ખરાબ છે. કોઈનું અવસાન થાય ત્યારે મૈયત લઈ જવા માટે પણ આખો રસ્તો ફરીને જવું પડે છે.સ્થાનિકોમાં નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે આક્રોશ છે. તેમનું કહેવું છે કે, તેમના માટે કોઈ પક્ષ (ભાજપ કે કોંગ્રેસ) મહત્વનો નથી, પરંતુ જે પક્ષ તેમના વિસ્તારનો સાચો વિકાસ કરશે તેને જ તેઓ આ વખતે મત આપશે. ખાડી ફળિયા વિસ્તારના રહીશોના આક્ષેપો અને તેમની વેદના તંત્ર સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું. આગામી ચૂંટણી પહેલા આ સમસ્યાઓનો ઉકેલ આવશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:35 pm

ઘોડદોડ રોડ પર મહિલા વકીલના ઘરમાં રૂ. 30 લાખની ચોરી:કલર કામ ચાલતું હતું ને તિજોરી સાફ થઈ ગઈ, 20 તોલા સોનું ગાયબ

સુરતના સૌથી પોશ ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. વ્યવસાયે વકીલ એવા વનિતાબેન કલ્પેશકુમાર ત્રિવેદીના ફ્લેટ નં. 402માં તસ્કરોએ કીમતી દાગીના અને રોકડ પર હાથ સાફ કર્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઘરમાં રંગરોગાનનું કામ ચાલી રહ્યું હતું. વકીલના ઘરમાં જ આ પ્રકારે મોટી ચોરી થતાં સ્થાનિક રહીશોમાં ભય અને આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલર કામ અને બાળકોની હાજરીનો ગેરલાભ ઉઠાવાયોઘટનાની વિગત મુજબ, ગત 29 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન જ્યારે વનિતાબેન અને તેમના પતિ વકીલાતના વ્યવસાય અર્થે ઘરની બહાર હતા, ત્યારે ઘરમાં કલર કામ ચાલી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઘરમાં માત્ર બાળકો જ હાજર રહેતા હતા. બાળકોની ભોળપણ અને નજર ચૂકવીને અજાણ્યા શખ્સોએ બેડરૂમમાં રહેલી લોખંડની તિજોરી સુધી પહોંચી ગયા હતા. કોઈ પણ જાતના તોડફોડ વગર તિજોરી ખોલીને તેમાંથી કીમતી સામાન ચોરી લેવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ચોર જાણભેદુ હોઈ શકે છે. 20 તોલા સોનું, લગડી અને રોકડ મળી 30 લાખની મતા ચોરાઈતસ્કરોએ તિજોરીમાંથી સોનાના કિંમતી ઘરેણાં જેવામાં લાંબો હાર, ટૂંકો હાર (પેકનેક), માંગટીકો, કાનના બુટ્ટા અને બે સોનાની ચેઈન ચોરી લીધી હતી. આ ઉપરાંત, 20-20 ગ્રામની બે સોનાની લગડીઓ અને ચાંદીની લગડી પણ ગાયબ હતી. ચોરીની યાદી અહીં જ નથી અટકતી, તિજોરીમાં રાખેલા રૂ. 1,40,000 રોકડા પણ ચોરાયા હતા. કુલ મળીને અંદાજે રૂ. 30,09,550ની મતાની ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આટલી મોટી રકમ અને દાગીના ચોરાતા ત્રિવેદી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘરઘાટી મહિલા અને કામદારો સામે શંકાની સોયવનિતાબેને નોંધાવેલી ફરિયાદમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી અને તેમના ઘરે ઘરકામ માટે આવતી રમિલાબેન સુખાલાલ રાઠવા સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઘરમાં જે કલર કામ કરતા મજૂરો આવતા હતા તેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે તિજોરીની ચાવી ક્યાં રાખવામાં આવે છે તેની જાણકારી ધરાવનાર વ્યક્તિએ જ આ ચોરીને અંજામ આપ્યો છે. હાલમાં ઘરકામ કરતી મહિલા અને અન્ય કામદારોની પૂછપરછ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે CCTV ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરીઆ મામલે 17 એપ્રિલની રાત્રે મોડી પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ એફએસએલ (FSL)ની મદદ લીધી છે. એપાર્ટમેન્ટના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી શંકાસ્પદ હિલચાલ પકડી શકાય. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:34 pm

નવસારી વોર્ડ-12માં ચૂંટણી બહિષ્કારની ચીમકી:પાયાની સુવિધાના અભાવે ગૃહિણીઓનો હલ્લાબોલ, 'કામ નહીં તો વોટ નહીં'ના નારા

નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 12માં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. નિકુંજ પાર્ક સોસાયટી સહિતના રહીશોએ આગામી ચૂંટણીમાં 'કામ નહીં તો વોટ નહીં'ના નારા સાથે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે ગૃહિણીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા 12 વર્ષથી સોસાયટીમાં પેવર બ્લોક નાખવાનું કામ અધૂરું છે. આ અંગે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે અને કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ખાસ કરીને ચોમાસા દરમિયાન વોર્ડ-12ના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગટર વ્યવસ્થા યોગ્ય ન હોવાથી વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેના કારણે સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. પાણી ભરાવાને કારણે બાળકોને શાળાએ મોકલવામાં મુશ્કેલી પડે છે, જે તેમના શિક્ષણ પર નકારાત્મક અસર કરે છે. ઉપરાંત, ઉભરાતી ગટરો ગંદકી ફેલાવે છે અને રોગચાળાનો ભય ઊભો કરે છે. આ ઉપરાંત, છેલ્લા 15 વર્ષથી પીવાના પાણીની પાઈપલાઈન ન હોવાથી ગૃહિણીઓને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:32 pm

મનપા તંત્રની કામગીરી સામે કોંગ્રેસમાં રોષ:રાજકોટમાં કોંગ્રેસ નેતાઓનાં નિવાસસ્થાનેથી ઝંડા ઉતારવાનાં પ્રયાસથી હોબાળો, ભાજપનાં ઈશારે તંત્ર કામ કરતું હોવાનો લગાવ્યો આરોપ

આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીને લઈને રાજકોટ શહેરના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરી પાછળના શ્રોફ રોડ પર સ્થિત કોંગ્રેસના નેતાનાં નિવાસસ્થાનેથી પક્ષના ઝંડા ઉતારવાની ઘટના સામે આવતા કોંગ્રેસના આ વોર્ડનાં ઉમેદવાર નયનાબા જાડેજા સહિતનાં સ્થાનિક આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈ તંત્ર અને કોંગી નેતાઓ વચ્ચે બોલાચાલીનાં દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને પગલે કોર્પોરેશ તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આરોપ કોંગ્રેસના સ્થાનિક મહિલા અગ્રણી મનીષાબા વાળાએ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા મનીષાબા વાળાએ આ મામલે કોર્પોરેશનના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશનના અધિકારીઓ સ્વતંત્ર રીતે કામ કરવાને બદલે ભાજપના દબાણ હેઠળ અને તેમના ઈશારે કોંગ્રેસના ઝંડા ઉતારવા માટે આવ્યા હતા. મનીષાબાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની ખાનગી મિલકત કે ઘર પર પોતાની પસંદગીના પક્ષના ઝંડા લગાવે છે, ત્યારે પણ તંત્ર દ્વારા પરવાનગીની માંગણી કરવામાં આવે છે. આ પ્રકારનું વલણ લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. મનીષાબાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ભાજપ દ્વારા 50 થી વધુ સ્થળોએ અને ખાનગી ઘરો પર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઝંડા લગાડવામાં આવ્યા છે. છતાં તંત્ર દ્વારા ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર માત્ર વિરોધ પક્ષને જ નિશાન બનાવી રહ્યું છે, જે સ્પષ્ટપણે પક્ષપાતી વલણ દર્શાવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ જાણે ભાજપના ખિસ્સામાંથી નીકળીને કામ કરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે આ ઘટનાને ભાજપની હારનો ડર ગણાવ્યો છે. મનીષાબાએ રાજકોટની જનતાને સંબોધતા કહ્યું કે, આવી લુખ્ખી દાદાગીરી અને સરકારી તંત્રના દુરુપયોગ સામે જનતાએ જાગૃત થવાની જરૂર છે. કોંગ્રેસના મતે, જ્યારે સત્તાધારી પક્ષ પોતાની સત્તાના જોરે વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે તેમની નબળાઈ અને ડર સાબિત કરે છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે ચુંટણી પંચમાં પણ રજૂઆત કરવાની તૈયારીઓ દર્શાવી છે. ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી પણ સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:31 pm

શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ..!:રાજકોટ ગ્રામ્ય SOGએ ધોરાજીના ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર શંકાસ્પદ દૂધ જપ્ત કરી સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલ્યું

ખાદ્યપદાર્થોમાં કરવમાં આવતી ભેળસેળની ઘટના અવારનવાર સામે આવતી હોય છે આ વખતે તો હવે શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ થતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય SOG ટિમ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે 'દ્વારકાધીશ દૂધની ડેરી'માં દરોડો પાડી શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં પોલીસે અંદાજે 400 લીટર જેટલું શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરી પરીક્ષણ અર્થે મોકલી ડેરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમને ધોરાજીના ઝાંઝમેર ગામે આવેલી 'દ્વારકાધીશ દૂધની ડેરીમાં ભેળસેળ યુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડી તપાસ કરતા ડેરીના સંચાલકો ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ એકઠું કરી અને ત્યારબાદ વધુ નફો કમાવવાના આશયથી દૂધની માત્રા અને ફેટ વધારવા માટે તેમાં વિવિધ પદાર્થોની ભેળસેળ કરી કૃત્રિમ કે બનાવટી દૂધ તૈયાર કરતા હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે 400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું જેથી ફૂડ સેફટી ઓફિસરને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં ફૂડ સેફટી ઓફિસર દ્વારા દૂધના સેમ્પલ મેળવી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે જેથી તેમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હતી તે સ્પષ્ટ થઈ શકે. હાલ આ સમગ્ર મામલે ડેરીના બે સંચાલકોની સંડોવણી સામે આવી છે જેમાં ઝાંઝમેર ગામના રહેવાસી રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ કસોટીયા અને સાગરભાઈ દુદાભાઈ કસોટીયા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:29 pm

પાટણમાં અપક્ષ ઉમેદવારને સભા-રેલીની મંજૂરી ન મળી:વકીલ મંડળ મેદાને, પ્રશાસન પર પક્ષપાતનો આરોપ, આંદોલનની ચીમકી

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સુશીલ લિમ્બાચીયાને સભા અને રેલી માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન મળતા વિવાદ સર્જાયો છે. આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના વકીલો ઉમેદવારના સમર્થનમાં આવ્યા છે અને પ્રશાસન સામે મોરચો માંડ્યો છે. વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સુશીલ લિમ્બાચીયાએ પ્રશાસન પર કિન્નાખોરી અને પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ તેમને વિવિધ પક્ષો તરફથી દબાણ અને લાલચ આપવામાં આવી હતી. તેઓ મક્કમ રહેતા હવે પ્રશાસન દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. લિમ્બાચીયાના જણાવ્યા અનુસાર, કોઈપણ કાર્યક્રમની પરવાનગી માટેની અરજી છેલ્લી ઘડી સુધી રોકી રાખવામાં આવે છે. સભાના આગલા દિવસે નકારાત્મક રિપોર્ટ આપી મંજૂરી રદ કરવામાં આવે છે. અગાઉ આયોજિત રેલીની પરવાનગી પણ વ્યાજબી કારણો વગર છેલ્લી ઘડીએ રદ કરાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર. ડી. દેસાઈએ વહીવટી તંત્ર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ભોય સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, સુશીલ લિમ્બાચીયા વ્યવસાયે વકીલ છે અને તેમને પ્રચાર કરતા રોકવા માટે પ્રશાસન જાણી જોઈને મંજૂરી આપતું નથી. દેસાઈએ વધુમાં ઉમેર્યું કે, જે વિસ્તારમાં સભા યોજવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાના ભંગ કે ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય તેવી શક્યતા નથી. તેમ છતાં વારંવાર પરવાનગી નકારીને બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. વકીલ મંડળે આ અંગે ચૂંટણી કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી કરી છે. વકીલ મંડળે અલ્ટીમેટમ આપ્યું છે કે, જો 24 કલાકમાં ઉમેદવારને પ્રચાર અને સભા માટેની જરૂરી પરવાનગી નહીં મળે, તો પાટણના તમામ વકીલો કલેક્ટર કચેરી સામે ધરણા કરશે. જરૂર પડશે તો આમરણાંત ઉપવાસ પર પણ ઉતરશે. અપક્ષ ઉમેદવાર સુશીલ લિમ્બાચીયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે વકીલ મંડળ અને હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ જ આગળની લડત ચલાવશે. પ્રશાસનના કથિત દબાણ વચ્ચે પાટણનું રાજકારણ અને કાનૂની આલમ ગરમાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:19 pm

જગદીશ વિશ્વકર્માનો રાહુલ ગાંધી પર કટાક્ષ:'કુંવારાઓને સ્ત્રી સન્માનની ખબર ન પડે'

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નવસારી જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત 'જન સમર્થન સભા'માં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. ખાસ કરીને મહિલા આરક્ષણ બિલ અને આદિવાસીઓના વિકાસના મુદ્દે તેમણે વિપક્ષને નિશાન બનાવ્યા હતા. જનસભાને સંબોધતા વિશ્વકર્માએ મહિલા આરક્ષણ બિલનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી આ બિલ અટકાવી રાખીને મહિલાઓને જાહેર જીવનમાં આવતા રોકવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધી પર વ્યક્તિગત કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધી કુંવારા હોવાથી તેમને સ્ત્રી સન્માન અને સ્વાભિમાનની ખબર નથી. જે વ્યક્તિ સાત ફેરા ફરે તેને જ ખબર પડે કે પરિવાર અને સ્ત્રીનું મૂલ્ય શું હોય છે. વિશ્વકર્માએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ભારતની દીકરીઓને આત્મનિર્ભર બનતી અટકાવવા માંગે છે. આદિવાસી બહુલ વિસ્તારમાં સંબોધન કરતા તેમણે કોંગ્રેસ પર આદિવાસી સમાજને છેલ્લા 6 દાયકાથી માત્ર વોટબેંક તરીકે વાપરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ભાજપ સરકાર રાજ્યના 52 આદિવાસી બહુલ તાલુકાઓમાં સતત કામ કરી રહી છે. તેમણે ભાજપ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી અને ખેતી માટે 24 કલાક વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી હોવાનું જણાવ્યું. વિશ્વકર્માએ વાંસદા વિસ્તારના વિકાસ માટે એક વર્ષમાં 600 કરોડ રૂપિયાની ફાળવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. 'વનબંધુ કલ્યાણ યોજના' હેઠળ દક્ષિણ ગુજરાતને 5 નવી મેડિકલ કોલેજોની ભેટ મળી છે, જે આદિવાસી યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલશે, તેમ તેમણે ઉમેર્યું. અંતમાં, તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પાસે કોઈ વિઝન નથી, જ્યારે ભાજપ 'અંત્યોદય'ના મંત્ર સાથે આગળ વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:14 pm

વડોદરામાં આપના 40થી વધુ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા:આપમાંથી ભાજપમાં આવનાર શીતલ ઉપાધ્યાયે કહ્યું: આપમાં મેં ક્યારેય ટિકિટની માંગણી કરી નથી, ભાજપ મારું બાળપણથી ઘર છે. પિયરમાં પાછી આવી હોય એવું લાગે છે

વડોદરામાં આમ આદમી પાર્ટીના 40થી વધુ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે ભાજપ કાર્યાલય ખાતે ખેસ પહેરાવીને ભાજપમાં જોડ્યા હતા. જેમાં આપના રાજ્ય પ્રવક્તા શીતલબેન ઉપાધ્યાય, દર્શનભાઈ રાવલ, સંદીપભાઈ રાવલ, અરવિંદભાઈ મૌર્ય અને રાજુબીન દરબાર અને ભૂષણ બાગુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા આરક્ષણ મુદ્દે વડોદરા શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પરિવારમાં એક વિશેષ પ્રસંગ છે. અગાઉ 'આમ આદમી પાર્ટી'માં સક્રિય રીતે કામ કરી રહેલા મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો આજે ભાજપની વિચારધારાથી પ્રેરાઈને અમારા પક્ષમાં જોડાયા છે. વડોદરા મહાનગર ભાજપ વતી હું આ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અનેક અગ્રણી નેતાઓ ભાજપમાં જોડાયા છે, જેમાં આપના રાજ્ય પ્રવક્તા શીતલબેન ઉપાધ્યાય, દર્શનભાઈ રાવલ, સંદીપભાઈ રાવલ, અરવિંદભાઈ મૌર્ય અને રાજુબીન દરબાર અને ભૂષણ બાગુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનીષગીરી ગોસ્વામી, વિઠ્ઠલભાઈ આયરે, સંગ્રામસિંહ કડુ, જીગ્નેશભાઈ પટેલ જેવા વિવિધ હોદ્દેદારો અને અકોટા તથા માંજલપુર વિધાનસભાના પાયાના કાર્યકરો પણ આજે ભાજપમાં જોડાયા છે. તેઓએ કહ્યું કે, આજના આ કાર્યક્રમમાં અંદાજે 40 જેટલા મુખ્ય કાર્યકરો અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. જેમાં કુશલભાઈ, ગીતાબેન, સેજલબેન ઉપાધ્યાય, પૂનમબેન પારેખ, ક્રિષ્નાબેન જોશી, રવિ ઉપાધ્યાય, જૈમિન પંડ્યા સહિતના અનેક મહિલા અને યુવા કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રહિતની વિચારધારાને ઓળખી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસ કાર્યોને સમજીને પક્ષમાં આવવાનો નિર્ણય લીધો છે. હું વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે આ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને વિશ્વાસ અપાવું છું કે પક્ષમાં તેમને યોગ્ય સન્માન મળશે. આપમાંથી ભાજપમાં જોડાનાર શીતલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ મારું બાળપણથી ઘર છે. દીકરી પિયરમાં પાછી આવી હોય એટલું જ કહી શકીશ, અને એની ખુશી અત્યારે હું વ્યક્ત નથી કરી શકતી. હા, કોઈક સમય એવો હતો કે કેટલાક સાનુકૂળ-પ્રતિકૂળ સંજોગોને કારણે અલગ થવું પડ્યું હતું, પણ આજે ફરી ભેગા થવાનો આનંદ એ અલગ થયાના દુઃખ કરતાં ઘણો વધારે છે. મેં ક્યારેય ટિકિટની માંગણી જ નથી કરી. આજે પણ નથી કરી અને વિધાનસભામાં પણ નથી કરી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું સંગઠનની વ્યક્તિ છું અને પહેલેથી સંગઠનમાં માનું છું. હું જ્યારે આમ આદમી પાર્ટીમાં હતી ત્યારે પણ તમે જોઈ શક્યા હશો કે મેં જે સંગઠન બનાવ્યું હતું, તે આજે મારી સાથે આવ્યું છે. પાર્ટી જે કંઈ જવાબદારીઓ સોંપશે અને જ્યાં પણ મારી જરૂર હશે, ત્યાં બધી જ જગ્યાએ હું ૨૪ કલાક હાજર છું. આજે 40થી વધુ હોદ્દેદારો મારી સાથે ભાજપમાં જોડાયા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:10 pm

જ્યારે એક બેઠકની સરસાઈ છતા ભાજપે 7 વર્ષ સત્તા ટકાવી:1995માં 1 બેઠક પર સમેટાયેલી કોંગ્રેસે 2000માં 44 બેઠકો સાથે સત્તા મેળવી, રાજકોટ મનપાનો 51 વર્ષનો રાજકીય ઈતિહાસ

સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહેલા રાજકોટ મહાપાલિકાના શાસનની ધુરા કોણ સંભાળશે તેનો નિર્ણય હવે નજીક છે. રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો માટે આગામી તારીખ 26ના રવિવારે મતદાન થવાનું છે. કાળઝાળ ગરમી અને આકરા તાપ વચ્ચે યોજાનારી આ ચૂંટણી પૂર્વે શહેરના 51 વર્ષના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો સમજાશે કે રાજકોટની પ્રજાએ મોટા ભાગે કેસરિયા પક્ષ પર જ કળશ ઢોળ્યો છે. મનપાની સ્થાપનાથી અત્યાર સુધીના પાંચ દાયકાના સમયગાળામાં 8 ચૂંટણી યોજાઈ છે. જેમાં 46 વર્ષ સુધી ભાજપે સત્તા ભોગવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર પાંચ વર્ષનું શાસન આવ્યું છે. આગામી ચુંટણીમાં ભાજપનાં ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ અને 'આપ' પણ મેદાનમાં ઉતર્યા છે. 1973થી શરૂ થયેલી સફર: જનતા મોરચાથી ભાજપ સુધીની પકડરાજકોટ મહાનગરપાલિકા તારીખ 19-11-73ના રોજ અસ્તિત્વમાં આવી હતી. તે પૂર્વે અહીં નગરપાલિકા અને મ્યુનિસિપલ બરો કાર્યરત હતા. કોર્પોરેશનની સ્થાપના સાથે સરકારે સૌપ્રથમ વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર)ની નિમણૂક કરી હતી. જોકે, લોકશાહી ઢબે પ્રથમ ચૂંટણી 1975માં યોજાઈ હતી. આ પ્રથમ જંગમાં ભાજપના પૂર્વજ ગણાતા 'જનતા મોરચા'એ મેદાન માર્યું હતું. 18 વોર્ડની 51 બેઠકો માટે થયેલા એ મતદાનમાં જનતા મોરચાને 32 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ 19 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. રાજકોટના પ્રથમ મેયર બનવાનું બહુમાન અરવિંદભાઇ મણિયારને ફાળે ગયું હતું, જેમણે પૂરી પાંચ વર્ષની ટર્મ શાસન સંભાળ્યું અને રાજકોટના આધુનિક વિકાસનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ 1981માં બીજી ચૂંટણી યોજાઈ. આ ગાળામાં દુષ્કાળ જેવી વિષમ પરિસ્થિતિઓને કારણે શાસનની મુદ્દત લંબાવવામાં આવી હતી, જેના કારણે આ ટર્મ 1981થી 1987 સુધી ચાલી હતી. આ ચૂંટણીમાં રસાકસી જામી હતી. 51 બેઠકોમાંથી ભાજપને 26 અને કોંગ્રેસને 25 બેઠકો મળી હતી. માત્ર એક બેઠકની પાતળી બહુમતી હોવા છતાં ભાજપે મક્કમતાથી શાસન કર્યું હતું. આ ગાળામાં અરવિંદભાઇ મણિયાર અને વજુભાઇ વાળાએ મેયર પદ સંભાળ્યું હતું. એ સમયે એક બેઠક માટે પક્ષપલટાની રાજનીતિ તેજ બની હતી, પરંતુ સ્વ. ચીમનકાકા ત્રિકોણબાગે નૈતિકતાના મુદ્દે કરેલા ઉપવાસે પક્ષપલટાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. 1995ની ઐતિહાસિક બહુમતી અને કોંગ્રેસનો રકાસરાજકોટના રાજકીય ઇતિહાસમાં 1995નું વર્ષ ભાજપ માટે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ ચૂંટણીમાં ભાજપે એવી તોતીંગ બહુમતી મેળવી કે વિપક્ષનું અસ્તિત્વ જ જોખમાયું હતું. 20 વોર્ડની 60 બેઠકોમાંથી ભાજપને 59 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી હતી. જેમાં કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર લાધાભાઇ બોરસદીયા (પટેલ) હતા. જોકે લોકશાહીની પરંપરા જાળવી રાખીને ભાજપે આ એકમાત્ર કોર્પોરેટરને પણ વિપક્ષી નેતાનું પદ, અલાયદી ચેમ્બર અને કાર જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. આ ટર્મમાં રાજકોટને પ્રથમ મહિલા મેયર તરીકે ભાવનાબેન જોષીપુરા મળ્યા હતા. તે સમયે દર વર્ષે મેયર બદલવાની પરંપરા હતી, જેના કારણે વિજયભાઇ રૂપાણી, ઉદયભાઇ કાનગડ, ગોવિંદભાઇ સોલંકી અને મંજુલાબેન પટેલ જેવા નેતાઓને પણ મેયર પદ પર સેવા આપવાની તક મળી હતી. 2000ની સાલમાં કોંગ્રેસને સત્તાની લોટરી લાગીપચીસ વર્ષના એકહથ્થુ શાસન બાદ વર્ષ 2000માં રાજકોટનું રાજકીય ચિત્ર પલટાયું હતું. રાજ્ય સરકારે મેયરની ટર્મ એક વર્ષને બદલે અઢી વર્ષની કરી હતી. ભાજપ આ નવા નિયમ સાથે સત્તા જાળવી રાખવા તૈયાર હતું, પરંતુ પ્રજાના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું. બોર કૌભાંડના આક્ષેપો અને લાંબા સમયના શાસન સામેની એન્ટિ-ઇન્કમ્બન્સીને કારણે જનતાએ કોંગ્રેસને સત્તા સોંપી. જેમાં સ્વ. મનોહરસિંહજી જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસે 23 વોર્ડની 69 બેઠકોમાંથી 44 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો હતો. આ દરમિયાન અઢી વર્ષના પ્રથમ મેયર બનવાની તક અશોક ડાંગરને મળી હતી. ત્યારબાદ મનસુખભાઇ ચાવડા અને ગૌરીબેન સિંધવ મેયર બન્યા હતા. જોકે, કોંગ્રેસનું આ પાંચ વર્ષનું શાસન અનેક વિવાદો અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલું રહ્યું હતું. 2005થી 2025: ભાજપનું પુનરાગમન અને વર્ચસ્વકોંગ્રેસના પાંચ વર્ષના શાસનથી નારાજ થયેલી જનતાએ 2005માં ફરી ભાજપને પ્રચંડ બહુમતી આપી. ભાજપને 59 અને કોંગ્રેસને માત્ર 10 બેઠકો મળી. અહીંથી ભાજપના અઢી-અઢી વર્ષના મેયરની પરંપરા શરૂ થઈ, જેમાં પ્રથમ મેયર ધનસુખભાઇ ભંડેરી અને ત્યારબાદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર તરીકે સંધ્યાબેન વ્યાસ આવ્યા હતા. 2010 અને 2015ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય રથ ચાલુ રહ્યો. 2015માં 18 વોર્ડની 72 બેઠકો પર ચૂંટણી યોજાતા ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસે જોરદાર ટક્કર આપી હતી, પરંતુ સત્તાથી દૂર રહી હતી. જેમાં ડો. જૈમન ઉપાધ્યાય અને બીનાબેન આચાર્યએ આ ટર્મમાં મેયર પદ ભોગવ્યું હતું. 2021માં કોંગ્રેસ માત્ર 4 બેઠક પર સમેટાઈ ગઈઆ પછી છેલ્લે યોજાયેલી 2021ની ચૂંટણીમાં ભાજપે ફરી 68 બેઠકો જીતીને કોંગ્રેસને માત્રને માત્ર 4 બેઠકો પર સીમિત કરી દીધી હતી, જેના કારણે કોંગ્રેસે વિપક્ષી નેતાનું પદ પણ ગુમાવ્યું હતું. જોકે આ 51 વર્ષ દરમિયાન સમયાંતરે રાજકોટ મનપાની હદમાં વધારો કરવામાં આવ્યો હતો. 1997માં રૈયા, મવા અને મવડી જેવા વિસ્તારો ભળ્યા, તો 2015માં કોઠારીયા અને વાવડીનો સમાવેશ થયો. 2020માં ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મોટામવા અને મનહરપર જેવા ગામો ભળતા રાજકોટનું કદ વિશાળ બન્યું છે. વિકાસની આ યાત્રામાં સૌથી વધુ સમય મેયર તરીકે સેવા આપવાનો રેકોર્ડ અરવિંદભાઇ મણિયારના નામે છે, જ્યારે વજુભાઇ વાળા બીજા ક્રમે રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 26 એપ્રિલનાં યોજાનાર મતદાનમાં ભાજપ પોતાના મજબૂત ગઢને સુરક્ષિત રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપના ગણિત મુજબ જો તેઓ ફરી સત્તા પર આવશે તો નવા મેયર અને પદાધિકારીઓ કોણ હશે તેની અટકળો પણ અત્યારથી તેજ બની છે. બીજી તરફ, વર્ષોથી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ નવી આશા સાથે મેદાનમાં છે. તો ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે શું રાજકોટની જનતા ફરી એકવાર ભાજપના શાસન પર મહોર મારશે કે પછી 2000ની સાલની જેમ કોંગ્રેસને સતા સોંપશે કે ત્રીજો પક્ષ ફાવશે તેનો જવાબ આગામી દિવસોમાં મતપેટીમાંથી બહાર આવશે. હાલમાં આકરા તાપ વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:04 pm

અમરેલીમાં 2 ગુનેગારો પાસા હેઠળ જેલભેગા:ચૂંટણી પહેલા કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની કાર્યવાહી

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. બે અસામાજિક તત્વોને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા અને મહેસાણા જેલમાં ખસેડવામાં આવ્યા છે. અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે શરીર સંબંધી, મિલકત સંબંધી અને પ્રોહિબિશન સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે. આ સૂચનાના આધારે, અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે સક્રિય ગુનેગારોને શોધી કાઢ્યા હતા. રાજુલા પીઆઈ વી.એમ. કોલાદરાની ટીમે શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા એક ઇસમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા પોલીસ વડા મારફતે આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજને મોકલવામાં આવી હતી, જેમણે તેને મંજૂર કરી હતી. ત્યારબાદ, અમરેલી એલ.સી.બી. પીઆઈ સી.પી. વાઘેલાની ટીમે પાસા વોરંટની બજવણી કરી હતી. પાસા હેઠળ અટકાયત કરાયેલા ઇસમોમાં રાજુલાના ખડપીઠ વિસ્તારના ઘેલા કાનાભાઈ ખાંભલા (ઉ.વ. 38) અને સિહોરના વિજય ઉર્ફે કાદર હિમતભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. ઘેલા ખાંભલાને વડોદરાની મધ્યસ્થ જેલમાં અને વિજય મકવાણાને મહેસાણા જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 3:00 pm

જામનગરમાં ગુજસીટોક એક્ટ હેઠળ પોલીસની કાર્યવાહી:જેલમાંથી કબ્જો મેળવી 8 આરોપીઓ છ દિવસના રિમાન્ડ પર, ફરાર અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલુ

જામનગર પોલીસે સંગઠિત ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આઠ આરોપીઓને જેલમાંથી કબ્જો મેળવી છ દિવસના રિમાન્ડ પર લીધા છે. આ કેસમાં ફરાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. જામનગરમાં દહેશત ફેલાવતી અને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી અલ્તાફ ગફાર ખફી ગેંગ અને અસલમ કરીમ ખીલજી ગેંગ વિરુદ્ધ પગલાં લેવાયા છે. અલ્તાફ ખફી ગેંગ સામે કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે. એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે ગેંગના મુખ્ય સૂત્રધાર અને કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી સહિત 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓમાં સમીર શકિલ ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો, ઈસ્તીયાક કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા, તોહિતખાન ઉર્ફે પપ્પુ, તબરેજ હાલાણી, હમીદ ઉર્ફે રાંજો, અબુસુફીયાન કુરેશી અને ઓસમાણ મુસા ખફીનો સમાવેશ થાય છે. પકડાયેલા આ 10 આરોપીઓના 23 એપ્રિલ, 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અસલમ ખીલજી ગેંગ સામે 46 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સાગરીત ગની ઉંમર બશરની ધરપકડ કરવામાં આવી છે, જેના 20 એપ્રિલ, 2026 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. અગાઉ પણ પોલીસે અસલમ ખીલજી ગેંગના ૧૭ અને અલ્તાફ ખફી ગેંગના 1 આરોપીને ઝડપી પાડ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આ તમામ આરોપીઓને સાબરમતી (અમદાવાદ), લાજપોર (સુરત), વડોદરા, રાજકોટ અને મોરબી જેલ સહિત રાજ્યની વિવિધ જેલોમાં મોકલી દેવાયા હતા. આ સમગ્ર ઓપરેશન તપાસનીસ અધિકારી જયવીરસિંહ ઝાલા (DySP જામનગર)ની રાહબરી હેઠળ LCB પી.આઈ. વી.બી. ચૌધરી, SOG પી.આઈ. બી.એન. ચૌધરી તથા પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમો દ્વારા અત્યંત ગુપ્તતા અને કુશળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી જામનગરના રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:57 pm

વેરાવળમાં રવિવારે વીજ પુરવઠો બંધ:19 એપ્રિલે 11KV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી થશે

વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026, રવિવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી 11 KV ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. વીજ ગ્રાહકોને નોંધ લેવા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ સંબંધિત કોઈપણ સમસ્યા માટે આ નંબર પર સંપર્ક કરી શકાય છે. પરિવારના સભ્યોની સલામતી માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે. ELCB લગાવવાથી વીજ અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:54 pm

'અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?' કથીરિયા સામે આક્રોશ:મહિલાઓએ ભાજપ નેતાઓને આડે હાથ લીધા, કહ્યું- સત્તા તમારી છે તો કામ કેમ નથી થતું?

સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ આ વખતે ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. શહેરના વોર્ડ-3 (વરાછા)માં ભાજપે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલની ટિકિટ આપી છે. આજે (18 એપ્રિલ) અલ્પેશ કથીરિયા પોતાની ટીમ સાથે ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર અર્થે જતા જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, ‘અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો?’ અલ્પેશ કથીરિયા જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે તેમને અપેક્ષા હશે કે ફૂલહારથી સ્વાગત થશે, પરંતુ અહીં ચિત્ર ઉલટું હતું. પાટીદાર યુવાનોએ અલ્પેશને જૂની યાદો યાદ કરાવતા કહ્યું કે, જે આંદોલન માટે સમાજે લાઠીઓ ખાધી અને કેસો વેઠ્યા, તે શક્તિનો ઉપયોગ હવે સત્તામાં ગયા પછી કેમ નથી થતો? અલ્પેશની સફાઈ અને મતદારોની દલીલોજ્યારે ભીડ વધી અને સવાલોનો મારો શરૂ થયો, ત્યારે અલ્પેશ કથીરિયાએ શાંતિ જાળવવાનો પ્રયાસ કરતા કહ્યું, અમે ક્યાં ભાગીએ છીએ? જવાબ તો આપીએ જ છીએ. જોકે, જનતાનો આક્રોશ અલ્પેશના આશ્વાસનથી શાંત થાય તેમ નહોતો. યુવકોએ સીધો રસ્તાનો મુદ્દો પકડ્યો અને પૂછ્યું કે, જો ભાજપની સત્તા છે તો કામ કેમ અટકેલા છે? અલ્પેશે 'કોર્પોરેટર બન્યા પછી કામ થશે' તેવી વાત કરી, પણ જનતાએ તેમને વર્તમાન સત્તાના જવાબદાર ગણીને ભીંસમાં લીધા હતા. ચર્ચા દરમિયાન જ્યારે મામલો ગરમાયો ત્યારે અલ્પેશ કથીરિયા અને તેમની ટીમે લોકોને વીડિયો ઉતારવાની મનાઈ કરી હતી. કહ્યું, અમે કોઈના દુશ્મન નથી, વીડિયો બંધ કરો. મહિલાઓએ DJ બંધ કરાવી રસ્તાની સમસ્યા ગણાવીભાજપના ઉમેદવારોના સ્વાગત માટે સોસાયટીમાં ડીજે વગાડવામાં આવી રહ્યું હતું અને સમર્થકો હારતોરા કરી રહ્યા હતા. આ ભપકા વચ્ચે સોસાયટીની ગૃહિણીઓ બહાર આવી હતી અને ડીજે બંધ કરાવી દીધું હતું. મહિલાઓનો આક્રોશ હતો કે, જ્યારે વિસ્તારમાં રસ્તાના ઠેકાણા નથી, ખાડાઓનું સામ્રાજ્ય છે, ત્યારે આટલો મોટો દેખાડો શા માટે? જે વ્યક્તિએ થોડીવાર પહેલા ઉમેદવારને ખેસ પહેરાવ્યો હતો, તે જ વ્યક્તિએ સુવિધાના અભાવે નેતાઓનો ઉધડો લેવાનું શરૂ કર્યું હતું. શિક્ષણ અને સરકારી સ્કૂલોની દયનીય સ્થિતિ પર પ્રહારવાત માત્ર રસ્તાઓ પૂરતી મર્યાદિત ન રહી, પણ સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધી પહોંચી હતી. યુવાનોએ નેતાઓને પૂછ્યું કે, સરકારી શાળાઓની હાલત જુઓ, કોઈ મધ્યમ વર્ગનો માણસ પોતાના બાળકને ત્યાં મોકલવા માંગતું નથી. ખાનગી શાળાઓની ફી સિસ્ટમ બેફામ છે, તેમાં તમે શું સુધારો કર્યો? નેતાઓએ સુરતમાં નવી સ્કૂલો બની હોવાનો દાવો કર્યો હતો, પરંતુ લોકોએ તેને માત્ર કાગળ પરની વાતો ગણાવીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ‘સાત કમળ’ લાવવાના લક્ષ્ય સામે જનતાના પાયાના સવાલોભાજપ જ્યારે તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે યુવાનોએ કટાક્ષ કરતા કહ્યું કે, તમારે સાત કમળ (તમામ બેઠકો) જીતવી હોય તો જનતાના કામ પણ કરવા પડશે. લાઈટ, ગટર અને પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ જો જનતાએ વલખાં મારવા પડતા હોય, તો કયા મોઢે મત માંગવા આવો છો? નેતાઓએ જ્યારે એમ કહ્યું કે, અમે બધું જ કામ કર્યું છે, ત્યારે લોકોએ પુરાવા માંગ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. 20 વર્ષના સપોર્ટ સામે સુવિધાના નામે મીંડુંસ્થાનિકોએ નેતાઓને યાદ અપાવ્યું હતું કે, આ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી ભાજપને સપોર્ટ કરતો આવ્યો છે, તેમ છતાં આજે પણ ગટરો ઉભરાય છે અને રસ્તા પર ખાડા છે. તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે મોટા મોટા વાયદા કરો છો અને જીત્યા પછી ભૂલી જાઓ છો, તેવો ગંભીર આક્ષેપ યુવાને કર્યો હતો. સોસાયટીના લોકોએ એકસૂરે જણાવ્યું હતું કે, સમસ્યા કોઈ એક વ્યક્તિની નથી, આખી સોસાયટીના રસ્તા ચોમાસામાં નર્ક સમાન બને છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:54 pm

મહીસાગરમાં ‘પ્રોજેક્ટ સહકાર’ હેઠળ બાળકોનું ચેકઅપ:ખાનગી તબીબોના સહયોગથી લુણાવાડામાં આરોગ્ય તપાસ યોજાઈ

મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ સહકાર’ના નવા તબક્કા હેઠળ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે બાળકોના આરોગ્યની તપાસનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ આંગણવાડીઓમાં આવતા અત્યંત ઓછા વજનવાળા (SAM) અને મધ્યમ ઓછા વજનવાળા (MAM) બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે, જેના પર તંત્ર સીધી દેખરેખ રાખી રહ્યું છે. આજરોજ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે યોજાયેલા તપાસ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધ્ધાર્થ અને ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સી. આર. પટેલીયા ઉપસ્થિત રહ્યા હતા. બાળરોગ નિષ્ણાંત ડો. શૈલેષ પંચાલ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નિશાંત પટેલ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ પણ સેવાઓ આપવા હાથ લંબાવ્યો છે અને તેઓ સમયાંતરે સેવા આપશે. આર.બી.એસ.કે. (RBSK) ટીમની મદદથી ઓછા વજનવાળા બાળકોને હોસ્પિટલ સુધી લાવી તેમની બ્લડ ટેસ્ટ અને એક્સ-રે જેવી સઘન તપાસ કરવામાં આવશે. નિદાનના આધારે જે બાળકોને વધુ સારવાર કે વિશેષ ખોરાકની જરૂર છે, તેમની યાદી તૈયાર કરી આગળનું ફોલો-અપ લેવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાનગી અને સરકારી તબીબો તેમજ વહીવટી તંત્રના સંકલનથી ચાલતો આ ‘પ્રોજેક્ટ સહકાર’ મહીસાગર જિલ્લાને સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:27 pm

સંતરામપુર પ્રોહીબિશન કેસનો ફરાર આરોપી પકડાયો:મહીસાગર પેરોલ ફર્લો શાખાએ દાહોદમાંથી ઝડપ્યો, એક વર્ષથી ફરાર હતો

મહીસાગર જિલ્લાની પેરોલ ફર્લો શાખાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી નૈનેષ વાલસિંગભાઈ ડામોરને દાહોદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી 17 એપ્રિલ, 2026ના રોજ કરવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જ IGP વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના નિર્દેશ મુજબ, 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધી નાસતા-ફરતા આરોપીઓ અને વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ બી.પી. પટેલ અને તેમની ટીમને આરોપી નૈનેષ ડામોર (રહે. મઘાનીસર, તા. ઝાલોદ, જિ. દાહોદ) રાત્રિના લગ્ન પ્રસંગમાંથી વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ તેના ઘરે આવવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે, પેરોલ ટીમે ઝાલોદ ખાતે આરોપીના ઘરે તપાસ કરતા તેને તેના મકાન બહાર ફળિયામાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી તેને આગળની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ 65(એ)(ઇ), 98(2), 81 તથા બીએનએસએસ કલમ 111(બી) મુજબ ગુનો નોંધાયેલો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:18 pm

દ્વારકા ટ્રાફિક પોલીસનો અકસ્માત નિવારણ પ્રયાસ:ટ્રેક્ટર ટ્રોલીમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવી સુરક્ષા વધારી

દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત, રાત્રિના સમયે હાઈવે પર ચાલતી ટ્રેક્ટર ટ્રોલીઓમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે. બેકલાઇટ વગરના વાહનોને કારણે થતા અકસ્માતોને રોકવા આ પગલું લેવાયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ (ઇન્ચાર્જ, ખંભાળિયા વિભાગ)ના સુપરવિઝન હેઠળ આ કામગીરી થઈ. જિલ્લા ટ્રાફિક શાખા, દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.બી. જાડેજાને ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સાથે મળીને હાઈવે રોડ પર અને ખંભાળિયા નજીક સૂકી ખેતી પાસે આવતા ખેડૂતોની ટ્રેક્ટર ટ્રોલીઓમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા. આનાથી રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધશે અને અકસ્માતનું જોખમ ઘટશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:18 pm

ભાવેણાનો 304 મો સ્થાપના દિન:મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી બ્લડ ડોનેશન કેમ્પમાં 304 માં જન્મદિવસ નિમિતે 304 બોટલ રક્ત એકત્ર કરાયું

આવતીકાલે પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાશે કેબિનેટ મંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત 'ભાવનગર જન્મોત્સવ સમિતિ' દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગરનો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ભાવનગર તેના સ્થાપનાના 304 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાને કારણે અગાઉ નિર્ધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્નિવલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે, પરંતુ સેવાકીય અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો સાથે ભાવેણાનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવશે. ​ભાવનગરના 304 મા સ્થાપના દિન નિમિત્તે આજે શનિવારના રોજ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, હરિ દર્શન એક્સપોર્ટનું મેદાન નિલમબાગ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી હરિકૃષ્ણ એક્સપોર્ટ રિતેશભાઈ લખાણી અને હિતેશભાઈ ગઢાળી દ્વારા આ કેમ્પ યોજાશે, સ્થાપના વર્ષને અનુરૂપ 304 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, આવતીકાલે ​અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે એટલે કે 19 એપ્રિલ રવિવારના રોજ ભાવનગરના સ્થાપક અને પ્રજાવત્સલ રાજવીઓને ભાવવંદના કરવામાં આવશે જેમાં ​સવારે 10 કલાકે મોતીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ તથા દરબારી કોઠાર સમાધિ સ્થળે શ્રદ્ધાસુમન અર્પણ. કરવામાં આવશે, કેબિનેટ મંત્રી ​જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ​જન્મોત્સવ સમિતિ દ્વારા અગાઉ કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, સાંઈરામ દવે અને કિંજલ દવે જેવા દિગ્ગજ કલાકારો સાથે ત્રણ દિવસીય કાર્નિવલનું આયોજન કરાયું હતું, પરંતુ આચારસંહિતાના કારણે આ જાહેર કાર્યક્રમો હાલ મોકૂફ છે, જે આગામી દિવસોમાં યોજાશે તેમ જણાવ્યું હતું,

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:04 pm

દહેજમાં 3.16 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો:પંજાબની ટોળકીના 6 આરોપીઓ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઉદ્યોગ વિસ્તારમાં મોટી ચોરીની ઘટનાનો દહેજ પોલીસ દ્વારા સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે.દહેજ સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં થયેલી રૂપિયા 3.16 કરોડની ચોરી મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરી ગયેલ કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના દહેજ ડિવિઝનનો એસસી એસટી સેલના ડીવાયએસપી ડો.અનિલ સીસારાએ ચાર્જ લેતા જ મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ડૉ.અનિલ સીસારા ના માર્ગદર્શન હેઠળ દહેજ પીઆઈ હિતેશ ઝાલા અને તેમની ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.જેમાં દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી મશીનરી અને પાર્ટ્સ અટાલી ગામની સીમમાં આવેલી વી-લોજિસ્ટિક્સના વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા.આ દરમિયાન તસ્કરોને આ અંગે માહિતી મળતા 15 અને 16 એપ્રિલની રાત્રિ દરમિયાન વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું.તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે રૂપિયા 3.16 કરોડના કિંમતી પાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટરોની હલચલ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન પંજાબ રાજ્યની એક શંકાસ્પદ ટોળકી દહેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણામે, પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા મોટાભાગનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર જાળવણીના આધારે આ મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની ઝડપી કામગીરીને કારણે કરોડો રૂપિયાના માલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે, તેમજ આ ટોળકી અન્ય કોઈ ગુનાઓમાં સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:04 pm

વેરાવળમાં 19 એપ્રિલે પાવર કટ રહેશે:ગર્લ્સ સ્કૂલ ફીડરના વિસ્તારોમાં સવારે 10 થી સાંજે 4 સુધી વીજ પુરવઠો બંધ

વેરાવળ PGVCL શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026 (રવિવાર) ના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 11 કેવી ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને કારણે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. નાયબ ઈજનેર ડી.ડી. ડોડીયાના જણાવ્યા અનુસાર, આનાથી ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા જેવા વિસ્તારો પ્રભાવિત થશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. તેથી, વીજ ગ્રાહકોને તેમના વીજ ઉપકરણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. હાલમાં, પ્રી-મોન્સૂન કામગીરી અને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક વાયરિંગના ફિટિંગ કામકાજને કારણે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રાખવાની ફરજ પડે છે. વીજ ગ્રાહકોને તેમના વિસ્તારમાં પાવર બંધ રહેવા અંગેની જાણકારી મેળવવા માટે PGVCL પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:03 pm

હવે AI ગીતોના તાલે ગૂંજશે વોર્ડ-13ની ગલીઓ:ભાજપના ઉમેદવારે AIથી હાઈટેક પ્રચાર, કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ છે તે AI નક્કી કરશે

આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચાર હવે માત્ર સભાઓ અને પત્રિકાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારમાં આધુનિક ટેકનોલોજીનો મજબૂત ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને ‘પ્રચાર AI’નો ઉપયોગ કરીને મતદારો સુધી પહોંચવાની આ પદ્ધતિ હાલમાં સુરતભરમાં ચર્ચાનો વિષય બની છે. ઉમેદવારો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એવા ગીતો અને કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છે જે સીધા જ મતદારોના હૃદય અને મગજમાં સ્થાન બનાવી લે છે. સંદીપ ચલકવાલા: AI કોર્સ પાસ કરી ચૂંટણી મેદાનમાં ઉતર્યાવોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવાર સંદીપ ચલકવાલા પોતે ટેક-સેવી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, તેમણે પોતે AI જનરેટિવ અને AI ડેટા એનાલિસિસનો ઓનલાઈન કોર્સ પૂર્ણ કર્યો છે. આ શીખેલી કળાનો ઉપયોગ તેમણે રાજકારણમાં પ્રચાર-પ્રસાર માટે કર્યો છે. જ્યારે સામાન્ય રીતે નેતાઓ પરંપરાગત પ્રચારમાં વ્યસ્ત હોય છે, ત્યારે સંદીપ ચલકવાલાએ ડેટા અને ટેકનોલોજીના સંગમથી પ્રચારને વધુ ઝડપી અને ચોકસાઈપૂર્વક બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમનો આ અભિગમ યુવા મતદારોમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યો છે. AI જનરેટેડ ગીતોમાં વણાયા વોર્ડના વિકાસના કામોચૂંટણી પ્રચારને વધુ રસપ્રદ બનાવવા માટે ઉમેદવારો દ્વારા 4 ખાસ AI બેઝ સોંગ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ગીતોની વિશેષતા એ છે કે તેમાં માત્ર સંગીત જ નથી, પરંતુ વોર્ડ નંબર 13ના તમામ મુખ્ય વિસ્તારો, ત્યાંના રહેવાસીઓની જ્ઞાતિઓ અને જૂના સુરતની ભૌગોલિક ઓળખને આવરી લેવામાં આવી છે. આ ગીતો દ્વારા મતદારોને જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપના શાસનમાં વિસ્તારમાં કયા વિકાસના કામો થયા છે અને ભવિષ્યનું વિઝન શું છે. સંગીતમય પ્રચારને લીધે લોકોમાં આ માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. મતદાન ક્રમાંક યાદ રાખવા માટે ‘મ્યુઝિકલ ફોર્મ્યુલા’ઘણીવાર મતદારો ઉમેદવારોના નામ તો જાણતા હોય છે, પરંતુ મતદાન મથક પર જઈને તેમના ક્રમાંક બાબતે મૂંઝવણ અનુભવતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ પણ AI ગીતોમાં લાવવામાં આવ્યો છે. ગીતના શબ્દોમાં ચારેય ઉમેદવારોના નામ અને તેમના મતદાન ક્રમાંકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંદીપ ચલકવાલાના જણાવ્યા મુજબ, લોકોને લખાણ કરતા ગીતો જલ્દી યાદ રહી જાય છે. જ્યારે મતદાર મતદાન મથકે જશે, ત્યારે આ ગીતની ધૂન અને ક્રમાંક તેમના મનમાં હશે, જે ભાજપના પક્ષમાં મતદાન કરવામાં સરળતા કરી આપશે. ડેટા એનાલિસિસ: કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ છે તે AI નક્કી કરશેમાત્ર ગીતો જ નહીં, પરંતુ ઉમેદવારોએ AI ડેટા એનાલિસિસનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. વોર્ડના મતદારોના ડેટા પર રિસર્ચ કરીને કયા વિસ્તારમાં કયા પ્રકારની જરૂરિયાતો છે અને કઈ જ્ઞાતિના લોકો કયા મુદ્દાઓથી પ્રભાવિત છે, તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ એનાલિસિસના આધારે હવે ટેલર-મેડ (વ્યક્તિગત) મેસેજ મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા મુખ્ય હોય, તો ત્યાંના લોકોને તે સંદર્ભે પાલિકાના આયોજનોની માહિતી AI દ્વારા ફિલ્ટર કરીને મોકલવામાં આવશે. જૂના સુરતની ઓળખ અને આધુનિકતાનો સમન્વયવોર્ડ નંબર 13 એ સુરતનો ઐતિહાસિક વિસ્તાર છે. અહીંની ગલીઓ અને મહોલ્લાઓ પોતાની આગવી ઓળખ ધરાવે છે. AI સોંગ્સમાં આ જૂના સુરતની ધરોહરને જાળવી રાખીને તેમાં આધુનિકતાનો તડકો લગાવવામાં આવ્યો છે. પ્રચારમાં આ પ્રકારનો પ્રયોગ કરવાથી એક તરફ વૃદ્ધોને પોતાની સંસ્કૃતિ જોવા મળે છે, તો બીજી તરફ નવી પેઢીને ટેકનોલોજીનો રોમાંચ લાગે છે. ઉમેદવારોનો દાવો છે કે આ ‘હાઈટેક પ્રચાર’થી ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થશે અને વિરોધીઓ માટે આ ટેકનિકલ ટક્કર ઝીલવી મુશ્કેલ બનશે. ભાવિ આયોજન, ટેકનોલોજી દ્વારા સીધો લોકસંપર્કસંદીપ ચલકવાલા અને તેમની ટીમે સ્પષ્ટ કર્યું છે કે સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયા પછી પણ તેઓ AI ટેકનોલોજીનો ઉપયોગ ચાલુ રાખશે. આમ, વોર્ડ નંબર 13માં ‘ડિજિટલ ઈન્ડિયા’ના સપનાને સ્થાનિક સ્તરે સાકાર કરવાની આ એક મજબૂત શરૂઆત ગણી શકાય. પ્રચારના અંતિમ દિવસોમાં હવે આ AI ગીતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 1:12 pm

રાજકોટમાં મહિલા સફાઈ કામદારની દયનીય સ્થિતિ:ચાલુ નોકરીએ પેરાલીસીસગ્રસ્ત થતા એજન્સીએ માત્ર 1 મહિનાનો પગાર આપી હાથ અધ્ધર કર્યાનો આરોપ, તંત્રએ એજન્સીને તાકીદ કરી ટૂંક સમયમાં પ્રશ્નનો ઉકેલ લાવવા આદેશ આપ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના હક્કો અને તેમની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના વોર્ડ નં. 6/બ હેઠળ માંડા ડુંગર વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા એક મહિલા સફાઈ કામદાર ગંભીર બીમારીનો ભોગ બન્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને રઝળતા મૂકી દેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રાજકોટ કામદાર યુનિયન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ, પર્યાવરણ વિભાગના અધિકારીનાં જણાવ્યા મુજબ ભોગ બનનાર દ્વારા અગાઉ આ બાબતની જાણ કરવામાં આવી નથી. આ અંગેની જાણ થતાં જ એજન્સીને નિયમ મુજબના તમામ લાભો આપવા માટે તાકીદ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં. 6/બ માં JK સિક્યુરિટી સર્વિસ પાસે સફાઈનો કોન્ટ્રાક્ટ છે. આ એજન્સી હેઠળ છેલ્લા લાંબા સમયથી ઉષાબેન જયેશભાઈ વેગડા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી મુજબ, ઉષાબેન જ્યારે પોતાની ફરજ પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમને પેરાલિસિસ (લકવો) નો ગંભીર હુમલો આવ્યો હતો. આ આકસ્મિક બીમારીને કારણે તેઓ શારીરિક રીતે અશક્ત બની ગયા છે. હાલમાં તેમની સ્થિતિ એટલી ગંભીર છે કે તેઓ અડધી રોટલી પણ જાતે ખાઈ શકતા નથી. પરિવારમાં કમાનાર વ્યક્તિ તરીકે માત્ર ઉષાબેન જ હતા, કારણ કે તેમના પતિની અગાઉ હત્યા થઈ ચૂકી છે. આવા કપરા સમયે જ્યારે તેમને આર્થિક અને સામાજિક ટેકાની જરૂર હતી, ત્યારે JK સિક્યુરિટી સર્વિસ દ્વારા માત્ર 1 મહિનાનો પગાર ચૂકવીને ત્યારબાદ ઉષાબેનનો પગાર બંધ કરી દેવામાં આવતા કામદાર યુનિયન દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કામદાર યુનિયન અનુસાર ESICનાં નિયમો કામદાર યુનિયન પ્રમુખ પારસભાઈ બેડિયાએ જણાવ્યું કે, ભારત સરકારની કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIC) મુજબ, કોઈપણ કામદાર જો ફરજ દરમિયાન કે સેવાના સમયગાળામાં બીમાર પડે, તો તેને અનેક પ્રકારની સુરક્ષા મળવાપાત્ર છે. ઉષાબેન પાસે ESIC કાર્ડ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેમને જરૂરી લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. ESIC ના નિયમ મુજબ કામદારને આજીવન મફત સારવાર, દવાઓ અને જરૂર પડે તો ઓપરેશનની સુવિધા મળવી જોઈએ. ખાસ કરીને પેરાલિસિસ જેવી ગંભીર બીમારીમાં 'એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટ' હેઠળ કામદારને આશરે 80% જેટલો પગાર 2 વર્ષ સુધી મળવાપાત્ર હોય છે. વધુમાં, જો કામદાર કાયમી અશક્ત બને, તો તેને અશક્તતા લાભ હેઠળ પેન્શનનો હક્ક મળે છે. 'દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016' (RPWD Act) મુજબ, કોઈ પણ કર્મચારી અશક્ત બને તો તેને નોકરીમાંથી કાઢી શકાતો નથી, પરંતુ તેને વૈકલ્પિક કામ આપવું પડે છે અથવા પૂર્ણ વળતર ચૂકવવું પડે છે. વધુમાં પારસ બેડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, બીમારીના કારણે કામ પર ન આવી શકતા કોન્ટ્રાક્ટર દ્વારા ઉષાબેનનો પગાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉષાબેનના પતિનું અગાઉ અવસાન થયું હોવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ અતિશય નબળી છે. આ ગંભીર પરિસ્થિતિમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 1 મહિનાનો પગાર આપીને બાકીનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. કામદાર યુનિયને માંગણી કરી છે કે ઉષાબેનને તાત્કાલિક અસરથી ESIC ના તમામ લાભો અપાવવામાં આવે અને કોન્ટ્રાક્ટર દ્વારા અટકાવવામાં આવેલો પગાર વ્યાજ સાથે ચૂકવવામાં આવે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર JK સિક્યુરિટી સર્વિસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અથવા તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. યુનિયને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સફાઈ કામદારને યોગ્ય ન્યાય નહીં મળે, તો સંવિધાનના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે સમગ્ર વિવાદ અંગે પર્યાવરણ વિભાગના અધિકારી વિવેકભાઈ ચાવડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઉષાબેન દ્વારા આ અંગે અગાઉ કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી. આમ છતાં, તંત્ર દ્વારા તેમને છેલ્લા 1 મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવ્યો છે. હાલમાં જ્યારે તેમની ગંભીર સ્થિતિ અંગેની જાણકારી મળી છે, ત્યારે તાત્કાલિક ધોરણે એજન્સીને ઉષાબેનને નિયમ મુજબ મળતા તમામ લાભો આપવાની કડક તાકીદ કરવામાં આવી છે. એજન્સીએ પણ આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેના કારણે ટૂંક સમયમાં જ ઉષાબેનને બાકી નીકળતા લાભો અને આર્થિક સહાય મળી રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ ફરજ દરમિયાન પેરાલીસીસનો હુમલો આવતા ઉષાબેન શારીરિક અશક્ત બની ગયા છે. હાલમાં તેમની સ્થિતિ એટલી ગંભીર છે કે તેઓ અડધી રોટલી પણ જાતે ખાઈ શકતા નથી. પરિવારમાં કમાનાર વ્યક્તિ તરીકે માત્ર ઉષાબેન જ હતા, કારણ કે તેમના પતિની અગાઉ હત્યા થઈ ચૂકી છે. આવા કપરા સમયે તેમને આર્થિક અને સામાજિક ટેકાની જરૂર છે. ત્યારે આ કપરા સમયમાં મહાનગરપાલિકાના સત્તાધીશો હવે આ માનવીય અભિગમ સાથેના કેસમાં કેટલી ઝડપથી ન્યાય અપાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 1:06 pm

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ તેજ:જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે, પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષક આર. એન. પંડ્યા અને નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ મતદાર મંડળોના ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે, મતદારો શાંતિપૂર્ણ અને સુવિધાસભર વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. તેમણે મતદાન મથકો પરની મૂળભૂત સુવિધાઓ (AMF/BMF), સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ વિભાગની તૈયારીઓ, સ્ટાફનું યોગ્ય ડિપ્લોયમેન્ટ અને આદર્શ આચાર સંહિતાના કડક અમલવારી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, તાલીમ કાર્યક્રમો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT ની કમિશનિંગ પ્રક્રિયા, સ્ટ્રોંગ રૂમ, મતગણતરી કેન્દ્રોની વ્યવસ્થા, પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટર્સ માટેની સુવિધાઓ તેમજ ડિસ્પેચિંગ અને રીસિવિંગ સેન્ટરોની કામગીરી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને મતદાન મથકો પર પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, ઇવીએમ નિદર્શન, કંટ્રોલ રૂમની સુવિધા, શેડો એરિયા મતદાન મથકો અને ઝોનલ રૂટના આયોજન અંગે સૂચનાઓ અપાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગ પરના પ્રતિબંધ સહિત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ કામગીરી સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવા અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો પાયો છે અને તેનું સફળ સંચાલન એ આપણી નૈતિક તેમજ વહીવટી જવાબદારી છે. ચૂંટણી નિરીક્ષક આર. એન. પંડ્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને મુક્ત વાતાવરણમાં યોજાય તે અત્યંત જરૂરી છે. મતદારો કોઈપણ પ્રકારના ભય કે દબાણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવું એ દરેક અધિકારીની જવાબદારી છે. તેમણે કોઈપણ પક્ષ કે ઉમેદવાર પ્રત્યે ભેદભાવ રાખ્યા વિના આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે કડક દેખરેખ રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવા માટે પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:56 pm

'111 ફ્લેટના રહીશોને ઈગ્નોર કરો છો, શરમ નથી આવતી':સૂત્રોચ્ચાર કરી સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી, સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં પાર્કિંગને બારોબાર પ્લાન પાસ કરી હટાવી દેવાયું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ પ્રચાર-પ્રસારનો જંગ શરૂ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજાજનોમાં ભારે આક્રોશની વચ્ચે સોલા રોડ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અભિષેક હાઇટ્સ નામના ફ્લેટના રહીશોને ફાળવવામાં આવેલું પાર્કિંગ બીજા મકાનોના રીડેવલોપમેન્ટ માટે ફાળવી દેવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાતોરાત પ્લાનમાં ફેરફાર કરી અને રહીશોની કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વિના પાર્કિંગને તોડી નાખવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જો આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. 'અભિષેક એપાર્ટમેન્ટના આગળના ભાગે પાર્કિંગ ફાળવ્યું હતું'રહીશોનોનું કહેવું છે કે નારણપુરા વોર્ડમાં સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની અભિષેક હાઈટ્સ નામની 111 ફ્લેટની રહેણાંક સ્કીમ છે. વર્ષ 2016-17માં બનાવવામાં આવેલા ફલેટના પાર્કિંગ માટે આગળ આવેલા અભિષેક એપાર્ટમેન્ટના 64 ફ્લેટની આગળના ભાગે પાર્કિંગ ફાળવવામાં આવ્યું હતું. ફ્લેટના પાર્કિંગનો પ્લાન પણ તેમાં દર્શાવવામાં આવ્યો હતો અને રહીશોને દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા. તેમાં પાર્કિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. 99 વર્ષના ભાડાપટ્ટે AMC દ્વારા પાર્કિંગ ફાળવેલું છે. 'બિલ્ડરે તોડી પાડી પતરા મારી દીધા'અભિષેક એપાર્ટમેન્ટના રીડેવલોપમેન્ટની કામગીરી દરમિયાન આ પાર્કિંગની જગ્યાને 9 એપ્રિલે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અભિષેક એપાર્ટમેન્ટનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તે બિલ્ડર દ્વારા તોડી પાડવામાં આવી. બિલ્ડર દ્વારા પતરા મારી અને બેરિકેટિંગ કર્યા બાદ પાર્કિંગની જગ્યા અભિષેક એપાર્ટમેન્ટના રી ડેવલપમેન્ટ માટે લઈ લેવામાં આવી હતી. જે અંગે અભિષેક હાઇટ્સના રહીશોને જાણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પાર્કિંગનો પ્લાન બદલી નાખવામાં આવ્યો છે અને આગળના ભાગે અન્ય જગ્યાએ પાર્કિંગ ફાળવી દેવામાં આવ્યું છે. વાંધા અરજી કરી છતાં પ્લાનમાં ફેરફારઅભિષેક એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ માટેના પ્લાનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અભિષેક હાઈટ્સ ફ્લેટના રહીશો સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જોકે અભિષેક હાઈટ્સના રહીશોએ તેમનું પાર્કિંગ યથાવત રાખવા માટે જ કહ્યું હતું. જે અંગેની વાંધા અરજી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અભિષેક હાઈટ્સ ફ્લેટના રહીશોએ આપી દીધી હતી. તેમ છતાં પણ પ્લાનમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હોવાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સરકાર પાસે ન્યાયની માંગણી કરવામાં આવી છે. 'અમારી જાણ બહાર પાર્કિંગનો નવો પ્લાન મંજૂર'અભિષેક હાઈટ્સના રહેવાસી જયેશ વરુએ જણાવ્યું હતું કે 2016-17 વર્ષમાં ફ્લેટનું પઝેશન આપવામાં આવ્યું હતું. ફ્લેટના આગળના ભાગે 992 મીટર જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનમાં પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી હતી. વિરોધ અને વાંધા અરજી હોવા છતાં અમારી જાણ બહાર નવો પ્લાન મંજૂર કરી અને નવા રીડેવલોપમેન્ટ માટે બિલ્ડરને જગ્યા ફાળવી દેવામાં આવી છે. જેની સામે અમારા કોમન પ્લોટમાં જગ્યા ફાળવી દેવામાં આવી છે. નવા પ્લાનમાં પંપરુમ અને ફાયર સેફટી સિસ્ટમ પણ બતાવવામાં આવી નથી. જો વાહનો પાર્ક થયેલા હોય તો ગાડી પણ ન નીકળી શકે એવી સ્થિતિ ઊભી થાય છે. ત્યારે અમે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરીએ છીએ જો આ બાબતે નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીમાં બહિષ્કાર પણ કરીશું. ‘અમને ઈગ્નોર કર્યાં, શરમ નથી આવતી’સોસાયટીના સેક્રેટરી વિજય ઠક્કરે જણાવ્યું હતું કે અમારી કોઈપણ પ્રકારની પરમિશન લીધા વિના દાદાગીરી કરી અને પતરા મારી પાર્કિંગની જગ્યા લઈ લેવામાં આવી છે. સ્થાનિક રહીશોને પૂછવામાં આવ્યું નથી. અમને ઇગ્નોર કર્યા છે આ લોકોને શરમ નથી આવતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવી મોટી ઓથોરિટી હોવા છતાં પણ તેઓ સાંભળતા નથી. કોઈપણ પરવાનગી લીધા વિના પ્લાન પાસ કરી નાખ્યો છે. શું બધે પૈસાનો જ ખેલ થતો હોય છે.પાર્કિંગને બિલ્ડર પચાવી પાડવા માંગે છે: શિવાંગીની શાહસ્થાનિક શિવાંગીની શાહે જણાવ્યું હતું કે, અમારા ફ્લેટમાં કોમન પ્લોટ, પાર્કિંગ અને નાનો બગીચો આવેલો છે. જ્યાં નાના બાળકો રમતા હોય છે અને સિનિયર સિટીઝનને બેસવાની વ્યવસ્થા છે. કોમન પ્લોટ અને પાર્કિંગની જગ્યામાં નાના મોટા પ્રસંગો અમે કરતા હોઈએ છીએ. ત્યારે આગળની જગ્યામાં ફાળવેલા પાર્કિંગને બિલ્ડર પચાવી પાડવા માંગી રહ્યા છે ત્યારે જો આ જગ્યા લઈ લેશે તો અમારે વાહન પાર્કિંગ ક્યાં કરવા જઈશું. અમને ખૂબ જ તકલીફ પડશે, અમારે ન્યાય જોઈએ છીએ.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:49 pm

ખીરું ખાવાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો:કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી, હવે વધુ કોકળું ગુચવાયું; પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે

ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીઓના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો છે. પોલીસે FSLનો રિપોર્ટ મેળવીને તપાસ કરી રહી છે. જોકે FSL રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. FSLનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ છે. હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતોગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સ પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:49 pm

પંચમહાલ પોલીસે અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 'ઓપરેશન સુરક્ષા' હેઠળ કાર્યવાહી

પંચમહાલ પોલીસે અપહરણના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી પંકજ મુકેશભાઈ બારીઆને ઝડપી પાડ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન સુરક્ષા' અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતની સૂચનાથી ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં પંકજ મુકેશભાઈ બારીઆ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પંચમહાલની પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘજીભાઈને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપી તેના વતન ગઢચુંડી ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી.આ બાતમીના આધારે, ટીમે તુરંત ઓપરેશન હાથ ધરી ગઢચુંડી ખાતેથી આરોપી પંકજ બારીઆને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે ભોગ બનનારને પણ શોધી કાઢ્યા છે. હાલ પંચમહાલ પોલીસે આરોપી અને ભોગ બનનાર બંનેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:48 pm