SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

ડાંગના ગલકુંડ હાટ બજારમાં આરોગ્ય કેમ્પ યોજાયો:‘આરોગ્ય સંજીવની મોબાઈલ યુનિટ’થી ગ્રામજનોને લાભ મળ્યો

ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાપ્તાહિક હાટ બજારો હવે માત્ર ખરીદ-વેચાણના કેન્દ્રો પૂરતા સીમિત નથી, પરંતુ આરોગ્ય સેવાઓનું પણ મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રની પહેલથી અંતરિયાળ વિસ્તારોના લોકોને હાટ બજારોમાં જ આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. આ શ્રેણીમાં, મંગળવારે આહવા તાલુકાના ગલકુંડ ગામે ભરાયેલા સાપ્તાહિક હાટ બજારમાં ‘આરોગ્ય સંજીવની મોબાઈલ યુનિટ’ દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડો. હેતલ દેશમુખ અને તેમની ટીમે મોટી સંખ્યામાં ગ્રામજનોને આરોગ્ય ચકાસણી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પ દરમિયાન સામાન્ય તાવ, શરદી, ઉધરસ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી વિવિધ બીમારીઓની તપાસ કરાઈ હતી. દર્દીઓને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી હતી. આ સેવા ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ. ડો. હેતલ દેશમુખે જણાવ્યું કે, આહવા સિવિલ હોસ્પિટલ હેઠળ કાર્યરત આ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા નિયમિતપણે સૂચિત ગામોમાં આરોગ્ય કેમ્પો યોજવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સારવાર માટે દૂર ન જવું પડે અને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ યોજના ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી રહી છે. હાટ બજારમાં આવતા લોકો એક જ સ્થળે પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા સાથે આરોગ્ય ચકાસણી પણ કરાવી શકે છે, જેનાથી તેમના સમય અને ખર્ચ બંનેની બચત થાય છે. ગ્રામજનોએ પણ આ પહેલને સારો આવકાર આપ્યો છે. તેમણે જણાવ્યું કે, હાટ બજારમાં આરોગ્ય સેવાઓ મળવાથી બીમારીઓની વહેલી ઓળખ શક્ય બની છે અને સમયસર સારવાર મળતા આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. ડાંગ જિલ્લાના વિકાસમાં આરોગ્ય ક્ષેત્રે આવી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 8:11 am

124 એકરમાં પથરાયેલી કરાઈ પોલીસ એકેડમી, જુઓ પ્રથમવાર ઈન્ડોર વ્યૂ:60,000 પોલીસ જવાનોની જેની સાથે યાદો જાડોયેલી છે ત્યાં કરોડોના ખર્ચે કોમનવેલ્થ માટે સ્પોર્ટસ સંકુલ બનશે

કોમનવેલ્થ-2030ની અમદાવાદને યજમાની મળતા માળખાગત સુવિધાના વિકાસ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ અને સંભવિત 2036 ઓલિમ્પિક માટે જે સ્પોર્ટસ કોમ્પલેક્સ અને ગ્રાઉન્ડસ તૈયાર કરાઈ રહ્યા છે તેમાં ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ એકેડમીનો પણ સમાવેશ કરાયો છે. વર્ષ 2001થી ગુજરાત પોલીસ જવાનોને તાલીમ પૂરી પાડતી કરાઈ પોલીસ એકેડમી ખાતેના સંકુલને વિસ્તારને કોમનવેલ્થ ગેમ્સ સ્ટાન્ડર્ડનું સ્પોર્ટસ સંકુલ વિકસાવવાની યોજનાની જાહેરાત થઈ ચૂકી છે. આગામી સમયમાં ગુજરાત પોલીસ એકેડમીનું નામ બદલીને 'પોલીસ એકેડમી અને સ્પોર્ટસ હબ' કરાશે. કોમનવેલ્થ ગેમ્સ માટે કરાઈમાં સ્પોર્ટસ સંકુલ વિકાસવવાનું હોય અહીં કાર્યરત પોલીસ એકેડમીને સંપૂર્ણ અથવા અમૂક હિસ્સાને ખલાલ સ્થિત પોલીસ એકડમીમાં ખસેડવાની ઉચ્ચસ્તરીય હિલચાલ ચાલી રહી છે. ત્યારે આજે વાત કરીશું 124 એકર વિસ્તારમાં ફેલાયેલી કરાઈ એકેડમીમાં પોલીસ જવાનોની તાલીમ માટે કયા પ્રકારની સુવિધાઓ આવેલી છે અને કોમનવેલ્થ ગેમ્સ માટે અહીં કયા પ્રકારની સુવિધાઓ ઉભી કરાશે? ગુજરાત પોલીસને તાલીમ આપતી મહત્વની સંસ્થા એટલે કરાઈ પોલીસ એકેડમીવર્ષ 1985 થી 2000 સુધી ખલાલ ખાતે કમાન્ડોની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. બાદમાં વર્ષ 2000માં કરાઈ ખાતે 124 એકરમાં ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમીની સ્થાપના કરાઈ હતી . અહીં વર્ષ 2001માં પોલીસની પહેલી બેચે ટ્રેનિંગ લીધી હતી. બાદમાં તબક્કાવાર એકેડેમીમાં ગ્રાઉન્ડથી માંડી વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ હતી. હાલમાં કરાઈ એકેડેમીનું 124 એકરમાં વિસ્તરણ થઈ ચૂક્યું છે. જ્યારે બાકીના એકરની જમીન વિવાદમાં સપડાઇ છે. આ એકેડેમીમાં એડમિન ઓફિસથી માંડીને પોલીસ જવાનો માટે તમામ સગવડો સાથે રહેવાની હોસ્ટેલ પણ છે. કરાઈ પોલીસ એકેડેમીના એક ઉચ્ચ અધિકારી સાથેની વાતચીત અને સ્થળ વિઝિટમાં જાણવા મળ્યું કે, કરાઈ એકેડેમીનો આખો રાઉન્ડ મારો તો સાડા ત્રણથી ચાર કિલોમીટર થઈ જાય છે. આ 16 મીટરનો વોક વે રિવર ફ્રન્ટ તરીકે ઓળખાય છે.આ રિવરફ્રન્ટ પછી જ અમદાવાદ સાબરમતી નદી ખાતે રિવર ફ્રન્ટની યોજના તરતી મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં અહીં 60,000 પોલીસ અધિકારી-જવાનોએ તાલીમ લીધીઅહી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ વિવિધ સંવર્ગના અધિકારી અને પોલીસ જવાનો ટ્રેનીંગ લઈ ચૂક્યા છે. ઘણાં એ તો અહીં પોતાની ટ્રેનિંગ દરમિયાન વૃક્ષો પણ વાવ્યા હતા. જે આજે વટવૃક્ષ બની ચૂક્યા છે. અહીં આશરે 30 હજારથી અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું ગાઢ જંગલ એટલે કે ઓક્સિજન પાર્ક છે. જેમાં એક હજાર જેટલા તો ચંદનના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સ્થળોએ મિયાવાકિ પદ્ધતિથી 7000 જેટલા વૃક્ષોને ઉછેરવામાં આવે છે. કોમનવેલ્થ ગેમ્સ માટે ઉપયોગ થઈ શકે તેવા મેદાન ઉપલબ્ધજ્યારે અન્ય સુવિધા અને વિશેષતાની વાત કરીએ તો અહી સિન્થેટિક એથલેટિક ટ્રેક છે (જેની કોમન વેલ્થ ગેમ્સ માટે પસંદગી કરાઈ છે), ત્રણ વિશાળ પરેડ ગ્રાઉંડ, એક ફૂટબોલ ગ્રાઉંડ, સિન્થેટિક ટેનિસ અને બાસ્કેટ બોલ કોર્ટ, સ્વિમિંગ પુલ, બેડમિંટન કોર્ટ છે. ઉપરાંત પોલીસ જવાનોને ફાયરિંગ પ્રેક્ટિસ માટે અલાયદુ બફેલ રેન્જ એટલે કે ફાયરિંગ રેન્જ બનાવવામાં આવ્યું છે. જેની રચના એ રીતે કરાઈ છે કે વિવિધ બંદૂકોથી ગોળીબારની ટ્રેનિંગ દરમિયાન કોઈ વખત મિસ ફાયર થઈ જાય તોય ગોળી નિયત વિસ્તારમાં જ રહી જાય છે. કરાઈ સ્પોર્ટસ કોમ્પ્લેક્સગાંધીનગરના કરાઈમાં ગુજરાત પોલીસ એકેડેમી ખાતે 124 એકરમાં એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર પામશે. કરોડો રૂપિયાના પ્રોજેક્ટના મૂળમાં એક અત્યાધુનિક એથ્લેટિક્સ સ્ટેડિયમ છે, જે 50,000થી 55,000 દર્શકોને સમાવી શકશે. ઇન્ડોર મલ્ટીયુઝ મેદાનમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશેઆ સાથે કરાઈમાં ઇન્ડોર મલ્ટીયુઝ મેદાન બનાવાશે, જેમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશે, જે વિવિધ ઇવેન્ટ્સનું સાક્ષી બનશે. 5,000થી 6,000 દર્શકોને બેસવા માટે બનાવેલા આ મેદાનમાં વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ્સ સહિત અન્ય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે, જે વિવિધ પ્રકારની રમતો અને મનોરંજન સુવિધાઓ પૂરી પાડશે, સાથે જ એક શૂટિંગ સેન્ટર પણ બનશે. જે ફ્રેશર્સની સાથે પ્રોફેશનલ શૂટર્સ બંનેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સજ્જ હશે. આ સિવાય જીઓ અને એસઓ મેસ ઉપરાંત 95 પોલીસ ઇન્સ્પેકટર માટે ઓફિસર હોસ્ટેલ, 100 લોકોની ક્ષમતા વાળી વિવિધ સંવર્ગ માટે ટ્રેનીંગ હોસ્ટેલ, 330ની ક્ષમતાની PSI બેરેક, મહિલા માટે 300ની ક્ષમતા વાળી બે હોસ્ટેલ તેમજ 300,400 મળીને કુલ 700 ક્ષમતા વાળી પુરુષોની હોસ્ટેલ પણ છે. અહીં માઉન્ટેડ યુનિટ, કમાન્ડો ઓપ્ટિસ્કલ્સ કોર્સ શીખવામાં આવે છે. સ્પોર્ટસ કોમ્પલેક્સ માટે પોલીસ એકેડમીને ખલાલ ખસેડાય તેવી શક્યતાત્યારે આટલી બધી સુવિધાઓથી સજ્જ 124 એકરમાં ફેલાયેલા ગુજરાત પોલીસ એકેડેમી સંકુલ ખાતે કોમન વેલ્થ ગેમ્સને લઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન છે. જેના વૈશ્વિક કક્ષાના ઇન્ફ્રા સ્ટ્રક્ચર માટે વર્ષ 2026ના અંત સુધીમાં કરાઈ પોલીસ એકેડેમીનો અમુક હિસ્સો કે આખે આખું માળખું ખલાલ એકેડેમી શિફ્ટ કરવાની દિશામાં ગતિવિધિ ચાલી રહી છે. કોમન વેલ્થની યજમાની માટે વર્ષોથી આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત પોલીસ એકેડેમીનું નામ બદલીને સ્પોર્ટ્સ હબ કરી દેવા તજવીજ શરૂ હતી. જેના પગલે કરાઈ એકેડેમીના ઉચ્ચ અધિકારીઓએ સરકારમાં પત્ર લખી ગુજરાત પોલીસ એકેડેમીનું નામ પોલીસ એકેડેમી એન્ડ સ્પોર્ટ્સ હબ રાખવા ખાસ ભલામણ પણ કરાઈ ચૂકી છે. જેના પર અંતિમ મહોર લાગવાની તૈયારીઓ છે. બીજી તરફ કરાઈ પોલીસ એકેડેમીને શિફ્ટ કરવાની વાતથી પણ પોલીસ બેડામાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કેમકે વર્ષોની અથાગ મહેનત અને પરિશ્રમ પછી અત્રેની 124 એકરની વેરાન જગ્યા આજે ગાઢ જંગલોની વચ્ચે આધુનિક સુખ સુવિધાઓ સાથેની પોલીસ ટ્રેનીંગ એકેડેમી બની ચૂકી છે. અહીં હજજારો પક્ષીઓનો પણ વસવાટ છે. જેથી આ સંકુલમાં હયાત વનરાજીને નુકશાન કર્યા વિના કોમન વેલ્થ માટે માળખું ઊભું કરાય તેવું સૌ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારો ઈચ્છી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 6:00 am

અમદાવાદના 5 લાખ વિદ્યાર્થીઓ આજે પ્રતિજ્ઞા લેશે:'મકરસંક્રાતિના પર્વ પર વહેલી સવારે અને સાંજે પતંગ નહીં ચગાવું, ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરું...'

ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગો, ખુશીઓ અને ઉત્સાહનો તહેવાર. પરંતુ આ આનંદ કોઈ નિર્દોષ પક્ષી, પશુ કે માનવી માટે જીવલેણ ન બને એ માટેની જવાબદારી હવે સમાજ સાથે સાથે શાળાઓએ પણ સંભાળી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી ન વાપરવા શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. ઉત્તરાયણ પૂરી થયા બાદ રસ્તા પર પડેલા દોરીના ગુચડાઓ અને કચરો સાફ કરવા કેમ જરૂરી છે તે વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવાનું આયોજન કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળા સંચાલકો અને આચાર્યોને પત્ર લખી સૂચના આપી છે. DEO સૂચનાના આધારે આજે તમામ શાળાઓમાં અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેશે. બાળકોને શીખવાશે સંવેદના અને સુરક્ષાના પાઠઉત્તરાયણનો તહેવાર તમામ લોકોનો પ્રિય તહેવાર હોય છે. તેમાં પણ બાળકો ઉત્તરાયણના તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ માંઝા, તુક્કલ નો ઉપયોગ મનુષ્યો, પશુઓ અને પક્ષીઓ માટે ખૂબ જ ઘાતક અને જીવલેણ સાબિત થતો હોય છે. ચાઈનીઝ દોરીના કારણે રાજ્યભરમાં અનેક લોકોના મોત પણ ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતા હોય છે. જેથી સરકાર દ્વારા પણ ચાઈનીઝ દોરીના વેચાણ પર અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી અમદાવાદ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે શાળાઓના વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. તેમજ શાળાના તમામ બાળકો અને વાલીઓને ચાઈનીઝ માંઝા અને તુક્કલના વપરાશના ભયસ્થાનો અને કાયદાકીય જોગવાઈઓથી વાકેફ કરાવવામાં આવશે. ચાઈનીઝ માંઝાનો ઉપયોગ ન કરવા તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞાનું વાંચન કરાવવામાં આવશે. ઉત્તરાયણના પર્વ પર દુર્ઘટના ન સર્જાય તે જોવાની સૌ કોઈની ફરજઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિના ધાર્મિક તહેવારની ઉજવણી વર્ષોથી દુનિયાભરમાં પ્રસિદ્ધ હોવા સાથે પોતાની એક તહેવાર તરીકેની આગવી નામના પણ ધરાવે છે. દરેક ઉજવણીનું મહત્વ ધાર્મિક સિદ્ધાંતોથી વિસ્તૃત હોવા સાથે જીવન કલ્યાણનો આશય પણ એટલા જ ભાવથી તેમાં જોડાયેલો હોય છે. પરંતુ જ્યારે કોઈ ઉજવણી, પ્રસંગ, તહેવાર પોતાને પશુ પક્ષી કે પ્રકૃતિને જીવલેણ કે નુકસાન કરતા જાણે અજાણે આવી કોઈ દુર્ઘટના ન બને તે જોવું પણ આપણા સૌની નૈતિક ફરજ છે. દરેક વિદ્યાર્થી આ પ્રતિજ્ઞા લેશેહું પ્રતિજ્ઞા લવ છું કે...'' આગામી મકરસંક્રાંતિના પર્વે હું સવારના વહેલા અને સાંજના મોડા સમયે ( જ્યારે પક્ષીઓ આકાશમાં વધુ હોય છે ત્યારે ) પતંગ નહિ ચગાવુ, જેથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય. હું ક્યારેય ઘાતક ચાઈનીઝ દોરી કે કાચવાળા માંજાનો ઉપયોગ નહીં કરું, જે પક્ષીઓ અને મનુષ્ય માટે જોખમી છે. હું ધાબા પર પતંગ ચગાવતી વખતે હંમેશા સાવચેત રહીશ અને ક્યારેય રસ્તા પર પતંગ પકડવા પાછળ દોડીશ નહીં. ઉત્સવ પૂરો થયા પછી હું ધાબા પર કે રસ્તા પર પડેલા દોરીના ગુચડાઓ અને કચરો સાફ કરીશ, જેથી કોઈ પશુ પક્ષી તથા પ્રાણી તેમાં ફસાઈ ન જાય. જો મને કોઈ કાયલ પક્ષી દેખાશે તો હું તરત જ વડીલોને જણાવીશ અથવા ભક્તિ હેલ્પલાઇનનો સંપર્ક કરીશ. મારો આનંદ, કોઈ તો જીવ ન લે - એ જ મારી સાચી ઉત્તરાયણ ! આ પ્રકારની પ્રતિજ્ઞા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ લેવાના છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 6:00 am

બઢતીની ઘેલછામાં અધિકારીઓ જ નિયમ ઘોળીને પી ગયા:જામનગરની આયુર્વેદિક યુનિ.માં CCC પરીક્ષાના નામે ભોપાળું, ડિપાર્ટમેન્ટ હેડની ગેરરીતિના કારણે બીજા 8ના પ્રમોશન પર પ્રશ્નાર્થ

2006ની સાલમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો. નવી નોકરી મેળવવી હોય કે પછી જૂના કર્મચારીને બઢતી આપવાની હોય, આ બન્ને કિસ્સામાં જે તે વ્યક્તિએ CCC કે CCC+ની પરીક્ષા પાસ કરીને સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ. સરકારના આ ઠરાવથી ભૂતકાળમાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કારણ કે ઘણા લોકોની બઢતીમાં આ સર્ટિફિકેટનો નિયમ રોડો બન્યો હતો. હવે આ નિયમ ઘડ્યાના 19 વર્ષ બાદ એક મોટો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરની તપાસમાં થયો છે. જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં કર્મચારીઓની બઢતીમાં એક મોટું ભોપાળું ખૂલ્યું છે. વિભાગના વડા બની બેસવાની લાલચમાં સરકારી અધિકારીએ પાસા ગોઠવીને કેવી રીતે સરકારને જ ઊઠાં ભણાવ્યા છે, તેના પુરાવા દિવ્ય ભાસ્કરને હાથ લાગ્યા છે. જો આ દિશામાં તપાસ કરીને કડક પગલાં લેવામાં આવે તો એક કે બે નહીં નવ-નવ કર્મચારીઓની બઢતી, પગાર અને જવાબદારી પર પ્રશ્નાર્થ ઉભો થઈ શકે છે. 20 ઓક્ટોબર, 2023શુક્રવારનો દિવસ હતો. જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં મહેકમ શાખાના પત્રથી ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક મળી. નિયમ પ્રમાણે કુલપતિ મુકુલ પટેલ તેના અધ્યક્ષ હતા. આ કમિટી સમક્ષ મહેકમ વિભાગના વડા તરીકે અધિક્ષકે વિગતો મૂકી હતી. જેમાં અલગ-અલગ પદે કુલ 9 કર્મચારીઓને પ્રમોશન આપવા મુદ્દે ચર્ચા થઈ. પરંતુ આ પ્રકરણમાં સૌથી નોંધવાલાયક નામ હતું વિનોદ બારીઆ. બઢતી મેળવવા માટે સરકારની આંખોમાં ધૂળ નાખીબઢતી પહેલાં વિનોદ બારીઆ હિસાબનીશના હોદ્દા પર નોકરી કરતા હતા. જે વર્ગ-3 કક્ષાનું પદ ગણવામાં આવે છે. તેમને અધિક્ષક એટલે કે વર્ગ-2ના કર્મચારી તરીકે બઢતી મળે એ માટે બેઠકમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે અધિક્ષકના હોદ્દા માટે કર્મચારી પાસે 7 વર્ષ એટલે કે 84 મહિનાનો અનુભવ હોવો જરૂરી છે. વિનોદ બારીઆ પાસે હેડક્લાર્ક તરીકે 8 વર્ષ 6 મહિના અને હિસાબનીશ તરીકે 6 વર્ષ 2 મહિનાનો અનુભવ હતો. પરંતુ તેમની બઢતીમાં CCCની પરીક્ષાને લઈને પેચ ફસાતો હતો. એટલે આ લાયકાતમાં તેમણે સરકારની જ આંખોમાં ધૂળ નાખી. દિવ્ય ભાસ્કરને મળેલી જાણકારી પ્રમાણે વિનોદ બારીઆએ CCC+ની પરીક્ષા પાસ કરેલી નથી. તેમ છતાં જ્યારે તેમણે 20 ઓક્ટોબર, 2023ની મિટિંગમાં પોતાના પ્રમોશન માટેના ડોક્યુમેન્ટ રજૂ કર્યા તેમાં જણાવ્યું કે CCC+ની પરીક્ષા પાસ કરેલ છે. ભૂતકાળમાં પણ CCCના નિયમથી બચવા માટેનો પ્રયાસ કર્યો હતોવાત માત્ર એક જ ખાનામાં ‘હા’ લખી દેવાથી પૂરી નથી થઈ જતી. વિનોદ બારીઆએ પ્રમોશન મેળવવા માટેના ગતકડા ઘણા સમય પહેલાંથી જ શરૂ કરી દીધા હતા. જેમ કે સરકારે કર્મચારીઓને CCCની પરીક્ષામાંથી છૂટ આપવાનો એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવના નામે પણ વિનોદ બારીઆએ લાભ લેવાનો ભૂતકાળમાં પ્રયાસ કર્યો હતો. CCCના સર્ટિફિકેટ બાબતે રાજ્ય સરકારે 20 જૂન, 2015ના રોજ એક જીઆર બહાર પાડ્યો હતો. જેમાં સરકારે થોડા નિયમો હળવા કર્યા. જેમ કે જે અધિકારી-કર્મચારીઓએ 50 વર્ષ પૂરા કર્યા હોય એ તારીખથી તેમને CCC અને CCC+ પાસ કરવામાંથી મુક્તિ મળશે. સરકારે ઠરાવ પર સ્પષ્ટતા પણ કરી હતીજો કે આ જીઆરની સ્પષ્ટતા માટે રાજ્ય સરકારે 15 એપ્રિલ, 2021ના રોજ નવો જીઆર બહાર પાડ્યો. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે જે કર્મચારી-અધિકારીઓએ CCC અને CCC+ પરીક્ષા પાસ કરેલી નથી પરંતુ તેઓ બઢતીની અન્ય જોગવાઈઓ સંતોષતા હોય તો તેમને બઢતી માટે યોગ્ય ગણી તેઓનું નામ પસંદગી યાદીમાં સમાવવાનું રહેશે. પરંતુ આવા કર્મચારી-અધિકારીઓએ પસંદગી યાદીના છેલ્લા ક્રમ પરના ઉમેદવારને બઢતી આપવામાં આવે અથવા બઢતી માટેની ખાતાકીય પસંદગી સમિતિની બેઠકની તારીખથી એક વર્ષ એમ આ બેમાંથી જે મોડું હોય ત્યાં સુધીમાં CCC કે CCC+ની પરીક્ષા પાસ કરવાથી કે 50 વર્ષ પૂર્ણ થયેથી CCC અથવા CCC+ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ મેળવેલ હશે તો જ તેઓને નિયમાનુસારની બઢતી આપવાની રહેશે. આ અંગે વિભાગે ખરેખર બઢતી આપવામાં આવે ત્યારે તેઓએ CCC કે CCC+ પરીક્ષા પાસ કરેલી હોવાની કે 50 વર્ષ પૂર્ણ કરવાથી પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ મેળવેલ હોવાની પૂરતી ખરાઈ કરી લેવાની રહેશે. હવે વિનોદ બારીઆએ કેવી રીતે બન્ને તરફે લાભ લેવાનો પ્રયાસ કર્યો એ સમજો. યુનિવર્સિટીના અન્ય એક દસ્તાવેજમાં બારીઆના કિસ્સામાં નોંધ્યું છે કે યુનિવર્સિટીના ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના 20 જૂન, 2015ને ટાંકીને વિનોદ બારીઆની જન્મ તારીખ 23 ઓગસ્ટ, 1973 છે. એટલે 22 ઓગસ્ટ, 2023ના રોજ 50 વર્ષ પૂર્ણ કર્યા છે. જેથી વિનોદ બારીઆએ CCC+ની પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવા મંજુરી માગી હતી. જેમાં જે તે સમયના અધિક્ષકે સહી કરી છે. પણ કુલસચિવે મંજુર કર્યું નહીં હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. નિયમ પ્રમાણે છેલ્લા પરિપત્રનો અમલ થવો જરૂરીઆ કિસ્સામાં એ મુદ્દો ઉપસ્થિત થાય છે કે નિયમ મુજબ તેમને જ્યારે બઢતી આપવામાં આવે ત્યારે સરકારના છેલ્લાં પરિપત્રનો અમલ કરવાનો રહે છે. બારીઆને 2023માં 50 વર્ષ પૂર્ણ થયા છે અને બઢતી પણ 2023માં આપવામાં આવી છે. એટલે આ કિસ્સામાં નિયમ મુજબ 2021ના પરિપત્રનો અમલ થાય. પરંતુ તેમને 2015નો પરિપત્ર ટાંકીને મુક્તિ આપી હોવાની વાતને સાચી કરવાનો પ્રયાસ કરતા મામલો ચર્ચામાં આવ્યો છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે 2015ના નિયમ મુજબ જો વિનોદ બારીઆને CCCની પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તો તેમને બઢતીની પ્રક્રિયામાં જમા કરાલેવા કાગળમાં એવું કેમ લખ્યું છે કે તેમણે CCC+ની પરીક્ષા પાસ કરી છે? એટલું જ નહીં, તેમણે આ બાબત છુપાવીને સ્પષ્ટ ગેરરીતિ આચરીને ઓફિસને અને ડીપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીને ગેરમાર્ગે દોરી હોવાનો મુદ્દો ચગ્યો છે. તેનાથી પણ વિશેષ પોતે જ મહેકમ વિભાગના વડા હોવાથી તેઓ આ બાબતે અજાણ હોય તે પણ માનવાનું કોઈ જ કારણ રહેતું નથી. અન્ય 8 કર્મચારીઓની બઢતી પર પણ થઈ શકે છે અસરઆ મુદ્દો સમગ્ર જામનગર પંથકમાં ચગ્યો હોવાથી જ એક RTI એક્ટિવિસ્ટે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારી પાસે સપ્ટેમ્બર-2025માં માહિતી માગી હતી. જેમાં પૂછ્યું હતું કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં CCC+ની પરીક્ષા પાસ કરવામાંથી કોને-કોને આરંભકાળથી અત્યારસુધીમાં મુક્તિ આપવામાં આવી છે તેની સર્ટિફાઇડ માહિતી આપવામાં આવે. જેના જવાબમાં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી એસ.એચ.બારાઇએ આ માહિતી ઉપલબ્ધ નથી તેમ જણાવ્યું હતું. છેવટે આ અંગેનો સમગ્ર મામલો આયુષ વિભાગના નિયામક જયેશ પરમાર પાસે પહોંચ્યો હતો. તેમણે પણ 25 જુલાઇ, 2025માં મેઇલ મારફતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ પાસેથી અધિક્ષક પાસે ખુલાસો માગ્યો હોવાની વિગતો આધારભૂત વર્તુળમાંથી પ્રાપ્ત થઈ છે. ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીને ગેરમાર્ગે દોરીને લીધેલ બઢતીને લીધે માત્ર એક અધિકારી નહીં, પરંતુ બીજા 8 લોકોને અસર પડે એમ છે. કારણ કે આ ગેરરીતિથી 2023-2024ની સિનિયોરિટી પ્રભાવિત થાય છે. આથી ભવિષ્યમાં આ મુદ્દાના કારણે પણ કાનૂની પ્રશ્ન ઉદભવી શકે તેવું છે. આમ, અધિક્ષક, કેશિયર, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્કની બઢતીની સમીક્ષા કરવાની થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ બઢતી ગેરરીતિનું પ્રકરણ મોટું હોઈ શકે છે. કારણ કે વિરલ મહેતા, દીપક લીંબડ, દિલિપ ત્રિવેદી નિવૃત થઈ રહ્યા છે. વિરલ સાંકળચંદ મહેતા કુલપતિના કાર્યાલયમાં ફરજો બજાવે છે અને કુલપતિ ખાતાકીય બઢતી સમિતના અધ્યક્ષ હોય છે. વિરલ મહેતાની ઇન્ચાર્જ એસ્ટેટ મેનેજર તરીકેની કામગીરીમાં પણ પ્રશ્નો થયા છે. દીપક લીંબડ મહેકમ વિભાગમાં છે. દિલીપ ત્રિવેદી હિસાબી વિભાગમાં છે. જો હિસાબનીશે વિનોદ બારીઆએ અધિક્ષકની ખોટી લીધેલી બઢતી પરત લેવામાં આવે તો તેમની બઢતીથી ખાલી પડેલી કેશિયરની જગ્યા પર બઢતી મેળવેલ મૂળ સિનિયર ક્લાર્ક તરીકે વિરલ મહેતાની હિસાબનીશ તરીકેની બઢતી રદ થાય, પછી હેડ ક્લાર્કની જગ્યા પર બઢતી મેળવેલ આનંદ શાહ તેમજ તેમની સિનિયર કલાર્કની જગ્યાએ બઢતી મેળવનાર દીપક લીંબડની કે દિલીપભાઇ ત્રિવેદીની બઢતીને પણ અસર થઈ શકે છે. બારીઆએ સ્વીકાર્યું કે તેમણે CCCની પરીક્ષા પાસ કરી નથીઆ અંગે હિસાબનીશમાંથી અધિક્ષક તરીકેનું પ્રમોશન મેળવનાર વિનોદ બારીઆને દિવ્ય ભાસ્કરે સવાલ કર્યા. તેમણે ખુલાસો આપતા જણાવ્યું, જ્યારે મને પ્રમોશન આપ્યું હતું ત્યારે મારે 50 વર્ષ પૂરા થઇ ગયા હતા. એટલે મને CCCની પરીક્ષામાંથી મુક્તિ મળે. મારે પાસ કરવાની જરૂર નથી. મેં 2021ના પરિપત્રનો લાભ લીધો છે. 2015 વાળો પણ લાગુ પડે. તેમાં 50 વર્ષ થાય તેમને મુક્તિ છે. ઓક્ટોબર, 2023માં પ્રમોશન આવ્યું એના બે મહિના અગાઉ 50 વર્ષ પૂરા થઇ ગયા હતા. વિનોદ બારીયા સ્પષ્ટ કહે છે કે તેમને CCCની પરીક્ષા પાસ નથી. છતાં તેમણે પ્રમોશનના ડોક્યુમેન્ટમાં “હા” લખ્યું છે. આ અંગેના સવાલ પર વિનોદ બારીઆએ ઉડાઉ જવાબ આપ્યો. તેમણે કહ્યું, બઢતી કમિટીમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક બધાને પ્રમોશન અપાયું. એટલે તેમાં કોપી પેસ્ટ કર્યું હોવાથી આવું લખાઈ ગયું છે. નિયમ મુજબ મારે ખાલી “મુક્તિ” લખવાનું હતું. એ તો બધામાં કલાર્કે કોપી-પેસ્ટ કર્યું હતું. જુનિયર કલાર્કમાં પણ યસ લખી નાખ્યું હતું. તેને તો CCC લાગુ જ ના પડે. તેમાં કલાર્ક સામે પણ કોઇ કાર્યવાહી કરી નથી. મારી સામે કોઇ કાર્યવાહી થઇ નથી. અમે જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નરેશ જૈન તથા રજિસ્ટ્રાર એચ.પી.ઝાલાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. જેથી તેમને મેસેજ કર્યો હતો. જો કે તેનો પણ તેમના તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. જ્યારે આયુષ વિભાગના ડિરેક્ટર ડૉ.જયેશ પરમારે જણાવ્યું, આ અંગે અમારી પાસે ફરિયાદ આવી હતી. એટલે અમે ખુલાસો માગ્યો છે. પરંતુ યુનિવર્સિટી તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 6:00 am

બાળકીએ ગળા પર હાથ ફેરવી કોર્ટમાં કહ્યું, ‘આમ મર્ડર થયું’:માતા-ભાઈના ખુનીને ઓળખી કાઢ્યા; માસૂમની જુબાનીના આધારે દાદી, કાકા સહિત ચારને આજીવન કેદ

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે તમે વાંચ્યું કે સુરતમાં આવેલી કોયલી ખાડીમાંથી સવારના સમયે બાળકનો રડવાનો અવાજ આવતો હતો. રાહદારીઓએ જોયું તો ગંદા પાણી અને કાદવમાં ખૂંપાયેલી ત્રણેક વર્ષની એક બાળકી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. બે યુવાનો તેને બચાવવા માટે ખાડીમાં ઉતર્યા. આ જ સમયે તેમને છએક મહિનાના એક બાળકની લાશ દેખાઈ અને આખા સુરતમાં હોહા મચી ગઈ. પોલીસે આ બન્ને બાળકો વિશે તપાસ કરી તો તેઓ સુરતના લિંબાયતના શાહપોર વિસ્તારના હોવાનો ખુલાસો થયો. બન્ને બાળકો સગા ભાઈ-બહેન હતા. થોડી જ વારમાં ઘણા સગાં-સંબંધીઓ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા. જેમાં બાળકોના પિતા જબ્બાર પણ હતો. પરંતુ પોલીસને એક વાત ખટકી, કારણ કે આટલી મોટી ઘટના બન્યા બાદ પણ બાળકોની માતા ગુમ હતી. વાત તો એવી પણ ઊડી કે બાળકોની માતા સમીમ બન્ને સંતાનોને ખાડીમાં ફેંકીને પોતાના પ્રેમી સાથે સાથે ભાગી ગઈ છે. જો કે એ જ દિવસે સમીમની લાશ સુરતની 100 કિલોમીટર દૂર ઉચ્છલ પોલીસ સ્ટેશના હદ વિસ્તારમાં એક રેલવે સ્ટેશન પાસેથી મળી આવી હતી. તેની કોઈએ નિર્દયતાથી હત્યા કરી હતી. જે તે સમયે લાશની ઓળખ નહોતી થઈ. પરંતુ આસપાસના જિલ્લાઓમાં આ માહિતી પહોંચતી કરતા સુરત પોલીસ મારફતે તેની ઓળખ થઈ અને પછી તો કેસની દિશા જ બદલાઈ ગઈ. સવાલ એ હતો કે જો સમીમની ઉચ્છલમાં હત્યા થઈ ગઈ અને બે બાળકો સુરતની ખાડીમાંથી મળ્યા તો આ કૃત્ય પાછળ હાથ કોનો હતો અને તેનો ઇરાદો શું હતો? પોસ્ટમોર્ટમ રિપોર્ટ મારફતે આવેલી જાણકારીથી એટલું તો સ્પષ્ટ હતું કે સમીમની હત્યા એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. પોલીસને શંકા સમીમના પતિ જબ્બાર પર પણ હતી. (ભાગ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો.) હવે આગળનો ઘટનાક્રમ વાંચો…ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જબ્બારશા બેઠો હતો. તેની સામે બેઠેલા પોલીસ અધિકારીઓની નજર તેના ચહેરાના એક-એક હાવભાવને માપી રહી હતી. સમીમની લાશ મળી ચૂકી હતી અને હવે જબ્બાર માત્ર એક પીડિત પતિ નહોતો પણ પોલીસ માટે તે શંકામાં આવેલો એક શખસ પણ હતો. જબ્બાર, સાચું બોલજે. જો જૂઠું બોલ્યો તો તારી ખેર નથી. તારી પત્ની અને બાળકો સાથે એ રાત્રે શું થયું હતું?. અમારે તારા વિશે જાણવું છે. પોલીસ અધિકારીએ ટેબલ પર હાથ પછાડીને ડરાવતા અવાજે પૂછ્યું. જબ્બારે ધ્રૂજતા અવાજે પોતાની કેફિયત રજૂ કરી. સાહેબ, હું તો ડ્રાઈવર માણસ છું. ગાડીઓની લે-વેચ કરતા શેઠને ત્યાં નોકરી કરીને માંડ ગુજરાન ચલાવું છું. પંદર વર્ષ પહેલાં રૂક્શાના સાથે નિકાહ થયા હતા, તેનાથી મારે ચાર સંતાનો છે. પણ ચાર વર્ષ પહેલાં મને સમીમ સાથે પ્રેમ થઈ ગયો અને અમે નિકાહ કરી લીધા. હું સમીમ અને મારા બે નાના બાળકો સાથે શાહપોરમાં અલગ રહેતો હતો. જબ્બારે પોતાના પરિવાર અને ભૂતકાળ વિશે ટૂંકમાં કહ્યું અને અટકી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને 20 જુલાઈનો ઘટનાક્રમ જણાવ્યો. સાહેબ, 20 તારીખે હું ગાડી લઈને કામથી બહાર ગયો હતો. 21 તારીખની સવારે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદર ન તો સમીમ હતી, ન તો બન્ને બાળકો હતા. મને ચિંતા થવા લાગી. એટલે હું આ લોકોને શોધતો-શોધતો આસપાસના વિસ્તારમાં ફરી વળ્યો. ત્રણેય ત્યાં ન મળ્યા તો મારી સાસરીમાં દોડ્યો, પછી સાળીના ઘરે ગયો. પણ કોઈનો ક્યાંય અતોપતો નહોતો. પછી તને ખાડી વિશે કેવી રીતે ખબર પડી? પોલીસે વળતો સવાલ કર્યો. સાહેબ, આખા વિસ્તારમાં હોબાળો મચ્યો હતો કે કોયલી ખાડીમાંથી બાળકો મળ્યા છે. એટલે હું ત્યાં પહોંચ્યો હતો. મને નથી ખબર કે મારો દીકરો કેવી રીતે મરી ગયો અને સમીમ ઉચ્છલ કેવી રીતે પહોંચી. જબ્બાર ડૂસકા ભરી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ એકબીજા સામે જોયું. જબ્બારની વાતો સાંભળીને કેટલાક સવાલોના જવાબ મળ્યા અને બીજા કેટલાક નવા સવાલો પણ ઉભા થયા. જેમ કે, જો જબ્બાર રાત્રે ઘરે નહોતો તો સમીમ અને બે બાળકોને અડધી રાત્રે ઘરેથી કોણ લઈ ગયું?શું કોઈ અજાણ્યા શખ્સોએ સમીમના ઘરમાં ઘૂસીને બે બાળકો સહિત ત્રણ લોકોનું અપહરણ કર્યું?સમીમની લાશ 100 કિમી દૂર મળી, જ્યારે બાળકો સુરતની ખાડીમાં, એનો અર્થ એ કે હત્યારાઓ પાસે પોતાની ગાડી હોવી જોઈએ. તપાસ અધિકારીના મગજમાં એક વિચાર વીજળીની જેમ ઝબક્યો. જબ્બાર પોતે ડ્રાઈવર હતો. તેની પાસે ગાડી હતી. તો શું જબ્બારે જ પોતાની પહેલી પત્ની રૂક્શાનાને ખુશ કરવા અથવા કોઈ બીજા કારણસર આ આખું નાટક રચ્યું હતું? જબ્બાર, તારી પહેલી પત્ની રૂક્શાના સાથે તારે હવે કેવા સંબંધો છે? પોલીસે મુદ્દાની વાત છેડી. જબ્બાર મૌન થઈ ગયો. આ મૌન ઘણું બધું કહી જતું હતું. 15 વર્ષનો જૂનો સંસાર અને અચાનક નવા લગ્યા પછીની લોહિયાળ ઘટનાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. પોલીસ હવે જબ્બારના લોકેશન અને તે રાત્રે તે કઈ ગાડી લઈને ક્યાં ગયો હતો તેની કડીઓ જોડવા લાગી. આ કેસની તપાસ હવે લિંબાયતના એ ભાડાના મકાનથી શરૂ થઈને રૂક્શાનાના ઘર સુધી પહોંચી રહી હતી. પોલીસે જબ્બારની પૂછપરછ, ટેક્નિકલ પુરાવાની સાથે હવે જબ્બારના પરિવારના તમામ સભ્યોની કુંડળી કાઢી લીધી. જાણવા મળ્યું કે જબ્બારની માતા જમીલાબાનુને એ વાત ખૂંચતી હતી કે તેનો દીકરો તેની પહેલી પત્ની રૂક્શાનાને છોડીને બીજી પત્ની સમીમબાનુને વધુ સમય આપી રહ્યો હતો. રૂક્શાના જમીલાની પુત્રવધુ જ નહીં ભાણી પણ હતી. પોતાની ભાણીનું ઘર બગડતું જોઈ જમીલાના મનમાં ઝેર ભરાયું. તેણે નક્કી કરી લીધું કે કોઈક રીતે આનો રસ્તો કાઢવો પડશે. તેણે સમીમબાનુ અને તેના બંને માસૂમ બાળકોને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનો એક ક્રૂર પ્લાન ઘડ્યો. પોલીસની તપાસ જેમ-જેમ ઊંડી ઉતરી તેમ તેમ માનવતાને શરમાવે એવી હકીકત બહાર આવતી ગઈ. શરૂઆતમાં માત્ર સાસુ જમીલા અને દિયર અફજલના નામ સામે આવ્યા હતા પણ ટૂંક સમયમાં જ આ ગુનાહિત કાવતરામાં જબ્બારની પહેલી પત્ની રૂક્શાના અને તેના ભાઈ ઈમરાનની સીધી સંડોવણી પણ ખુલ્લી પડી ગઈ. જમીલાએ સમીમ સાથે મુલાકાત કરી અને તેને લાલચ આપી. બેટા, અત્યારે રમઝાનનો પવિત્ર મહિનો ચાલે છે. મહારાષ્ટ્રના નવાપુરમાં જકાત (દાન) ખૂબ સારી મળે છે. તું તારા બાળકોને લઈને અમારી સાથે ચાલ એટલે તને ફાયદો થશે. અત્યાર સુધીમાં સમીમ અને તેની સાસુ વચ્ચેના સંબંધો સારા ન હતા. પણ લગ્નના ચાર વર્ષ બાદ સાસુએ આવી ફિકર કરી એટલે તેને ઘણું સારું લાગ્યું. જો કે સમીમ પોતાની સાસુના શબ્દો પાછળ છુપાયેલા મોતના ષડયંત્રને સમજી ન શકી અને નવાપુર જવા માટે રાજી થઈ ગઈ. 20 જુલાઈ, 2014ના રોજ સમીમ તેના બાળકો સાથે થેલો ભરીને ઘરેથી નીકળી રેલવે સ્ટેશન પહોંચી. તેની સાથે સાસુ જમીલા, જબ્બારની પહેલી પત્ની રૂક્શાના અને બીજા બે લોકો અફજલ અને ઇમરાન હતા. નવાપુર રેલવે સ્ટેશને ઉતર્યા બાદ રાતના અંધારામાં તેઓ પગપાળા ઉચ્છલ તરફ નીકળ્યા. રાત્રે 11 વાગ્યાની આસપાસના સમયે તેઓ ગોમતી નાળા પાસેના નિર્જન ઓવરબ્રિજ નીચે પહોંચ્યા. કોઈની અવરજવર ન હતી. આ જ સમયે ચારેય લોકોએ પોતાનો પ્લાન એક્ટિવ કર્યો અને સમીમ પર હુમલો કર્યો. સમીમને જમીન પર પટકી દેવામાં આવી. તેના બાળકોની નજર સામે જ ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકીને થોડી જ વારમાં તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. સમીમને બચવા માટેનો એક મોકો ન આપ્યો. ત્યાર બાદ હત્યારા પરિવારે સમીમની લાશ અને લોહીવાળું ચપ્પુ ત્યાં જ ફેંકી દીધું. સમીમના બન્ને બાળકો ચીસો પાડીને રડી રહ્યા હતા પણ કોઈને દયા ન આવી. સમીમબાનુને ઉચ્છલમાં મોતના ઘાટ ઉતાર્યા પછી, આ ચારેય નરાધમો જમીલા, અફજલ, રૂક્શાના અને ઈમરાન એક જ ગાડીમાં સુરત પાછા આવ્યા હતા. સુરત આવીને તેઓ લિંબાયત વિસ્તારમાં જબ્બારની બહેન ફાતેમાના ઘરે પહોંચ્યો. છ મહિનાનો માસૂમ બાળક ભૂખના કારણે સતત રડી રહ્યો હતો. બાળકના રડવાના અવાજે જમીલાના મનમાં ડર પેસાડી દીધો. તેને લાગ્યું કે આ છોકરો રડશે તો આપણે પકડાઈ જઈશું. પોતાના પાપને છુપાવવા માટે ચારેય લોકોએ વધુ બે હત્યાઓનો પ્લાન બનાવ્યો. રાતના સમયે જ ચારેય લોકો બે બાળકોને લઈને ફરીથી સુરતના રસ્તાઓ પણ નીકળી પડ્યા. બાળકોને કેવી રીતે ખતમ કરી દેવા એનો કોઈ નક્કર પ્લાન ન હતો. થોડે આગળ જતા રસ્તામાં કોયલી ખાડી આવી અને મનમાં ઝબાકો થયો. પરોઢિયે આ વિસ્તારમાં કોઈની પણ અવરજવર ન હતી. એટલે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર 3 વર્ષની બાળકી અને 6 મહિનાના બાળકને પુલ પરથી 30 ફૂટ ઊંડી કોયલી ખાડીના ગંદા પાણી અને ઊંડા કાદવમાં ફેંકી દીધા. હત્યારાઓની ગણતરી એવી હતી કે બંને બાળકો કાદવમાં ગૂંગળાઈને મરી જશે અને કોઈને કાનોકાન ખબર નહીં પડે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. માસૂમ બાળકીનો આક્રંદ એક રાહદારીએ સાંભળી લીધો અને તે બચી ગઈ. જો કે છ મહિનાના બાળકનું શરીર એ ગંદકી સામે હારી ગયું અને તેણે જીવ છોડી દીધો. પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી. તત્કાલીન PSI એસ.પી. વસુમિયાએ ઝીરો FIR નોંધી ઉચ્છલ પોલીસને તપાસ સોંપી અને તમામ વિરુદ્ધ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી. કાયદાના સકંજાએ ખૂનીઓને જેલ ભેગા કર્યા પણ એ માસૂમ નાઝમીનનું શું? જેણે મોતને નજરે જોયું હતું? મોતને હાથતાળી આપીને બચેલી ત્રણ વર્ષની બાળકીને તેની નાનીના ઘરે આશરો મળ્યો. પણ જે બાળકી પહેલાં કિલકિલાટ કરતી હતી તેનું જીવન હવે ઘણા અંશે બદલાઈ ગયું હતું. 30 ફૂટની ઊંચાઈએથી જ્યારે તેની સગી દાદીએ તેને ખાડીમાં ફેંકી હતી એ ક્ષણ બાળમાનસ પર કાયમી ડર તરીકે કોતરાઈ ગઈ હતી. નાનીના ઘરે તેને શાંત કરવા માટે જ્યારે હીંચકામાં બેસાડવામાં આવતી ત્યારે એ માત્ર ૩ ફૂટની ઊંચાઈથી પણ ફફડી ઉઠતી અને ચીસો પાડવા લાગતી હતી. તેને લાગતું કે હીંચકો તેને ફરી એ જ ગંદી ખાડીમાં ફેંકી દેશે. એ નાની આંખોમાં હજુ પણ એ ભયાનક રાતના દૃશ્યો તરવરતા હતા. આ કેસમાં સૌથી ખૌફનાક ઘટનાક્રમ કોર્ટમાં બન્યો. કારણ કે પોતાની માતા અને ભાઈની હત્યાની સાક્ષી ત્રણ વર્ષી બાળકી હતી, તેણે કોર્ટમાં જુબાની આપી અને વર્ષોના અનુભવી વકીલોને સ્તબ્ધ કરી દીધા. સમયનું ચક્ર ફરતું રહ્યું અને ઘટનાના લગભગ ચાર વર્ષ સુધી આ કેસ કોર્ટમાં ચાલતો હતો. આ કેસ માત્ર સુરત કે ઉચ્છલ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તે માનવતા અને રાક્ષસી વૃત્તિ વચ્ચે ભોગ બનેલા નિર્દોષ લોકોને ન્યાય અપવવાનો જંગ હતો. સરકારી વકીલ વિરેન્દ્ર એમ. ત્રિવેદી માટે આ કેસ એક પડકાર હતો. તેમણે કુલ 27 સાક્ષીઓની તપાસ કરી હતી, પણ આખા કેસનો સૌથી મજબૂત અને એકમાત્ર નજરે જોનાર સાક્ષી એક એવી માસૂમ હતી. જે પોતે હજુ માંડ બોલતા શીખી હતી. તપાસ દરમિયાન બાળકી આઘાતમાં હોવાથી પોલીસને કશું કહી શકી નહોતી. પરંતુ વકીલ વિરેન્દ્ર એમ. ત્રિવેદી જાણતા હતા કે આ માસૂમના મનમાં દબાયેલું સત્ય જ હત્યારાઓને જેલ ભેગા કરી શકે છે. તેમણે વિશેષ મંજૂરી લઈને બાળકીને કોર્ટમાં બોલાવી. કોર્ટના ગંભીર વાતાવરણમાં જ્યારે પાંચેક વર્ષની બાળકી ઉભી રહી ત્યારે આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. સામે જ તેના મમ્મી અને ભાઈના હત્યારા તેની પોતાની દાદી જમીલા, કાકા અફજલ, રૂક્શાના અને ઈમરાન ઉભા હતા. કોર્ટમાં બાળકીને કંઈક આ રીતે સવાલ કરવામાં આવ્યા…સવાલ- હું કોણ છું તે કહી શકો?જવાબ- ના સવાલ- આજે તમે ક્યાં આવ્યા છો તે કહી શકો?જવાબ- ના સવાલ- અહીં કયા વાહનમાં આવેલા છો?જવાબ- બસમાં સવાલ- કઈ બસ હતી?જવાબ- કઈ બસ હતી એ ખબર નથી. સવાલ- કઈ નિશાળમાં ભણો છો?જવાબ- સરકારી નિશાળમાં ભણું છું. સવાલ- કયા ધોરણમાં ભણો છો?જવાબ- પહેલાં ધોરણમાં ભણું છું. સવાલ- તમારા શિક્ષકનું નામ શું છે?જવાબ- ખતીજા સવાલ- જુઠું બોલીએ તો શું થાય?જવાબ- ગુન્હા હોતા હૈ. આટલા સવાલો પછી નક્કી થયું કે બાળકી સોગંદનું મહત્વ સમજે છે. કોર્ટના આદેશ પછી બાળકીની જુબાની નોંધવાનું નક્કી કરવામાં આવ્યું. બાળકીએ કોર્ટમાં અલગ-અલગ સવાલો જવાબ આપ્યા. એમાં તેણે જણાવ્યું કે મારી માતાનું નામ સમીમબાનું તથા પિતાનું નામ જબ્બાર છે. મારે અત્યારે કોઈ ભાઈ નથી. મારી મમ્મીને મારી નાખેલ છે. આ જણાવતા વખતે બાળકીએ જમણા હાથથી ગળા ઉપર ફેરવીને ઈશારો પણ કર્યો. બાળકીએ એ પણ જણાવ્યું કે જ્યારે એની મમ્મીની હત્યા થઈ ત્યારે રાતનો સમય હતો. તેના કહ્યા મુજબ, મારી દાદીએ, પપ્પાના ભાઈએ તથા સાવકી મા અને સાવકી માના ભાઈએ આવું કર્યું હતું. જો કે બાળકીને સ્થળની કોઈ સમજ ન હતી. જ્યારે બાળકીને આ ઘટના વિશે ડિટેલમાં પૂછવામાં આવ્યું તો તેણે જમણા હાથનો ઈશારો કરી ગળા ઉપર ફેરવ્યો અને પછી કાંઈ બોલી નહીં. માતાની હત્યા વિશે પૂછેલા અન્ય એક સવાલના જવાબમાં તેણે જમણા હાથથી પેટમાં ચાકુ માર્યાનો ઇશારો કર્યો હતો. બાળકીએ એવું પણ કહ્યું કે મને અને મારા નાનાભાઈને અમારા ઘર પાસે લઈ જઈને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. મારો નાનો ભાઈ ડૂબી ગયો હતો. હું જીવતી રહી ગયેલી. મને બે અજાણ્યા માણસોએ પાણીમાંથી બહાર કાઢી હતી એટલી ખબર છે. પરંતુ એ લોકોના નામ ખબર નથી. કોર્ટમાં બાળકીને હળવેથી આવી કેટલીક વાતો કહી, કેટલાકમાં ઇશારા કર્યા. અંતે બાળકી પાસે આરોપીઓની ઓળખ પરેડ કરાવવામાં આવી. જેમાં બાળકીએ ઉભા થઈને દરેક આરોપીઓને એક પછી એક ઓળખી બતાવ્યા. તેણીના દાદી, કાકા, સાવકી મા અને સાવકી માનો ભાઈ તમામ લોકોને બાળકી જાણતી હતી. 30 એપ્રિલ, 2018ના રોજ વ્યારા સેશન્સ કોર્ટ ભરચક હતી. કારણ કે આ કેસનો ચાર વર્ષ બાદ ચુકાદો આવવાનો હતો. સેશન્સ જજ પી.બી. શ્રીવાસ્તવે આ કેસમાં બાળકીની જુબાનીને ગ્રાહ્ય રાખી. તેમણે નોંધ્યું કે ભલે આ સાક્ષી નાની છે પણ તેના શબ્દોમાં કોઈ છળકપટ નથી. ન્યાયાધીશે ચારેય આરોપીઓ જમીલા, અફજલ, રૂક્શાના અને ઈમરાનને દોષિત જાહેર કર્યા. અને દરેકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. એટલું જ નહીં, દરેકને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આ રકમ એટલે કે કુલ 60 હજાર રૂપિયાની રકમ બાળકીના નામે ફિક્સ ડિપોઝીટમાં મૂકવાનો હુકમ કર્યો, જેથી જ્યારે તે પુખ્ત વયની થાય ત્યારે તેના ભવિષ્યમાં કામ લાગે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 6:00 am

આલે લે... નેતા-અધિકારીઓએ બેટની પૂજા કરી:ગાંધીનગરમાં રોગચાળો અને સાહેબો ભાવનગર ક્રિકેટ રમવા ગયા; ઈટાલિયાના ચાબખાં સરકારને ખુંચ્યા, વિસાવદરની હોસ્પિટલમાં સમારકામ થયું

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 6:00 am

કાર્યવાહી:સુરતમાંથી ભરૂચના બૂટલેગરો માટે કારમાં દારૂ લાવતો ખેપિયો સકંજામાં

સુરતથી વૈભવી કારમાં બુટલેગરો માટે દારૂનો જથ્થો લઇ આવનારા ખેપિયાને એલસીબીએ ઝડપી પાડયો છે. કારમાંથી દારૂની 655 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ મોકલનારા તથા દારૂ મંગાવનારા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. કાર સહિત કુલ 6.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતથી ભરૂચના બુટલેગરો માટે એક કારમાં દારૂનો મોટો જથ્થો મોકલવામાં આવી રહયો હોવાની માહિતી એલસીબીની ટીમને મળી હતી. પોલીસે કરજણ સિંચાઇ યોજનાના રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી દારૂની 655 બોટલ મળી આવી હતી. કારમાંથી મળી આવેલાં દારૂની કિમંત 2.97 લાખ રૂપિયા થવા જાય છે. પોલીસે કાર સહિત કુલ 6.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ સાથે ઝડપાયેલાં અને ભરૂચના મલબારી દરવાજા વિસ્તારમાં રહેતાં મોહંમદ તોકીરની પૂછપરછ કરતાં તે સુરતથી દારૂ લાવીને ભરૂચના બુટલેગરોને આપવા માટે જઇ રહયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુરતના કડોદરાના સંજય પાટીલ સહિત સંજય દેસાઇ, હિતેશ, વલિદ, રાજેશ મિસ્ત્રી અને અલ્તાફને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 5:11 am

સુવિધા:આમોદમાં ઘરથાળ યોજના હેઠળ 28 પ્લોટ મંજૂર

આમોદમાં ઘરથાળ પ્લોટ માટે 28 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જંબુસરના પ્રાંત અધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલીની અધ્યક્ષતામાં આમોદ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી. જંબુસર ખાતે આવેલી એસડીએમ કચેરીમાં બેઠક યોજાઇ હતી. આમોદ તાલુકાના ઘરથાળ પ્લોટ મેળવવા પાત્ર લોકોને ઘરથાળના પ્લોટની ફાળવણીના નિર્ણય અર્થે ગ્રામ્ય કક્ષાએથી આવેલ અરજીઓના નિકાલ કરવા અંગે, ગામની વિચરતી વિમુક્તિ જાતિનાલોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા, 100 ચોરસ વાર ગામતળ મંજુર કરવા અંગેવિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં આમોદ તાલુકાના કરેણા, ભીમપુરા, તેગવા, સરભાણ, ઘમણાદ, નાહિયેર, તણછા અને ઈટોલા ગામોના કુલ 28 જરૂરિયાતમંદ લોકોને સરકારીની મફત પ્લોટ સહાય હેઠળ મફત પ્લોટની મંજૂરી આપવામાં આવી હતી.આ મિટીંગમાં ગ્રામ્ય કક્ષાએથી 87 અરજી આવી હતી જેમાંથી 57 પુર્તતા કરી આગામી લેન્ડ કમિટીમાં મંજૂરી આપવામાં આવશે. આ બેઠકમાં વિવિધ કચેરીઓના પ્રતિનિધિઓ હાજર રહયાં હતાં.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 5:10 am

સાધના શાળા ખાતે આયોજીત શિબિરમાં 173થી વધુ દીકરીઓએ ભાગ લીધો‎:ભરૂચની સ્કૂલની દીકરીઓને સાઇબર સુરક્ષા અને સ્વ-બચાવની તાલીમ આપવામાં આવી

મહીલા અને બાળ વિકાસ વિભાગ મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ તેમજ ગૃહવિભાગ, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં સાધના સ્કુલ ભરૂચ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સાઇબર સેફટી, સેલ્ફ ડિફેન્સ, અને એસએચઇ ટીમ સાથે સંવાદ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પ્રીતેશ વસાવા, સેલ્ફ ડિફેન્સ કોચ મલેકભાઈ, એસએચઇ ટીમ માંથી હિનાબેન અને હેતલબેન, જિલ્લા મિશન કો ઓર્ડીનેટર સેજલ પ્રજાપતિ તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફગણ હાજર રહેલ. જેમાં ધોરણ 9 થી 12ની શાળાની વિદ્યાર્થિનીઓને એસએચઇ ટીમ દ્વારા સાઇબર ક્રાઇમ, સાઇબર સેફટી અને સોશ્યલ મીડિયાના જવાબદાર ઉપયોગ અંગે માહિતગાર કરેલ જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ જેમાં તેમણે દીકરીઓના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. સેલ્ફ ડિફેન્સ કોચ દ્વારા દીકરીઓને સ્વરક્ષણ અંગેની તાલીમ પ્રૅક્ટિકલ ડેમો દ્વારા આપવામાં આવેલ. જિલ્લા મિશન કો ઓર્ડીનેટર દ્વારા સરકારની વિવિધ યોજનાકીય માહિતી આપી કુલ 173 દીકરીઓને માહિતગાર કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 5:09 am

અરાજકતાનો માહોલ:કોર્ટ : પક્ષકારોને નવી તારીખ મળી, મામલતદાર- કલેક્ટર કચેરીમાં લોકોને ધક્કો‎

ભરૂચમાં મંગળવારના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં કોર્ટ તથા કલેકટર કચેરીમાં બોંબ મુકવામાં આવ્યો હોવાના ધમકીભર્યા ઇમેલના પગલે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. કોર્ટ પરિસરમાં વકીલો, ન્યાયધીશો અને અરજદારો સહિત 1 હજારથી વધારે લોકોની હાજરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો બોંબ ડીસ્પોઝલ સ્કવોડ તથા ડોગ સ્કવોડ સાથે કોર્ટ સંકુલમાં પહોંચી હતી. કોર્ટની ઇમારત તથા પરિસરમાંથી લોકોને બહાર કાઢી ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી. 3 કલાકથી વધારે સમય સુધી કોર્ટ સંકુલનો ખૂણે ખૂણો તપાસાયો હતો પણ કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. કોર્ટમાં તપાસ ચાલતી હતી તે સમયે કલેકટર કચેરીને પણ બોંબથી ઉડાવી દેવાનો ઇમેલ આવતાં કલેકટર કચેરી તથા મામલતદાર કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી. બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંને કલેકટર કચેરી ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી પણ અહીંથી પણ કઇ શંકાસ્પદ મળ્યું ન હતું. કોર્ટની કાર્યવાહી બંધ રહેતાં સુનાવણી સહિતની તમામ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને તમામ અરજદારોને સુનાવણી માટે નવી તારીખ આપવામાં આવી હતી. મામલતદાર કચેરી બંધ રહેતાં સૌથી વધારે સમસ્યા નડી હતી. હાલ મતદારયાદી સુધારણા અંતર્ગત નો– મેપિંગ થયેલાં મતદારો પાસે 2002ના પુરાવાઓ માગી તેમની સુનાવણી ચાલી રહી હોવાથી આ કામગીરી માટે આવેલાં અરજદારોને ધકકો પડયો હતો. 3 કલાકથી વધારે સમય સુધી ચાલેલી તપાસમાં કઇ વાંધાજનક ન મળતાં લોકો તથા તંત્રએ હાશકારો લીધો હતો. વિસ્ફોટકો શોધવા માટે ટાઇસન અને ઇગલની મદદ લેવાઇ‎ડોગ સ્કવોડના અભયભાઇ તથા નિલેશભાઇની ટીમ બે ડોગ ટાઇસન અને ઇગલને લઇને સ્થળ પર પહોંચી હતી. ટાઇસન બેલ્જીયન શેફર્ડ અને ઇગલ લેબ્રાડોર પ્રજાતિનો છે. બંને ડોગની મદદથી તમામ ઇમારતોની અંદર તથા બહાર તપાસ કરવામાં આવી હતી. વિશેષ પ્રકારની તાલીમ પામેલાં ડોગે વિસ્ફોટકો હોવાનો કોઇ સંકેત આપ્યો ન હતો. જો વિસ્ફોટક કે અન્ય વસ્તુઓની હાજરી હોય તો આ ડોગ તેને ગંધ પરથી ઓળખી નાંખે છે. વિસ્ફોટકોની હાજરી હોય તો તે જે તે જગ્યાએ ભસવા લાગે છે અને તે સ્થળે બેસી જાય છે. આ ડોગ તેના ટ્રેનરને ઇશારાથી જે તે જગ્યાએ વિસ્ફોટક હોવાનો ઇશારો કરે છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 5:05 am

મહેશ વસાવાનો પક્ષ પલટો:દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયાં

ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને દેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂકેલાં મહેશ વસાવાએ મંગળવારે કોંગ્રેસમાં જોડાય ગયાં છે. બીટીપીમાંથી મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતાં પણ ભાજપમાં તેમને મહત્વનું સ્થાન મળતું નહિ હોવાથી તે નારાજ હતાં અને 9 મહિના પહેલાં ભાજપના તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામુ મોકલી આપ્યું હતું. આખરે હવે તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ગયાં છે. તેમણે પક્ષ પલટાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, તેઓ સમાજના કચડાયેલા વર્ગ તથા અલ્પસંખ્યક સમાજનો અવાજ બનવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. વર્ષોથી અમારી અને કોંગ્રેસની વિચારધારા મળતી આવે છે. અમે હવે સાથે મળીને જળ, જંગલ અને જમીનની લડત લડીશું. ભાજપ સમાજને વેર-વિખેર કરવાનું કામ કરે છે. તેમની નીતિ 'ભાગલા પાડો અને રાજ કરો'ની છે. મહેશ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપની 'બી-ટીમ' છે. તે કોંગ્રેસના વોટ કાપવાનું કામ કરે છે અને ભાજપ તેને પ્રોત્સાહન આપે છે. જીતવાના મતો તોડવાની આ રમત હવે ચાલવાની નથી. દેડિયાપાડામાંથી ફરી ચૂંટણી લડવાનો માર્ગ મોકળો‎મહેશ વસાવા અગાઉ બે વખત‎‎દેડિયાપાડા વિધાનસભા બેઠક પર‎વિજય મેળવી ચૂકયાં છે. દેડિયાપાડા બેઠક પર વર્ચસ્વ ધરાવતાં કોંગ્રેસના પૂર્વ‎ધારાસભ્ય અમરસિંહ વસાવાનું તાજેતરમાં નિધન થયું છે. દેડિયાપાડામાં હાલ‎કોંગ્રેસ પાસે કોઇ મજબૂત ચહેરો નથી અને દેડિયાપાડામાં હાલ આપના ચૈતર‎વસાવાનો પ્રભાવ વધી રહયો છે. ચૈતર વસાવા રાજકારણના દાવપેચ છોટુ વસાવા‎અને મહેશ વસાવા પાસેથી શીખ્યાં છે. આવા સંજોગોમાં આગામી વિધાનસભાની‎ચૂંટણીમાં કોંગ્રેસ મહેશ વસાવાને દેડિયાપાડામાંથી ઉમેદવાર બનાવે તેવી‎સંભાવના છે. બીજી તરફ આખા રાજકીય ઘટનાક્રમ અંગે સાંસદ મનસુખ‎વસાવાએ જણાવ્યું હતું કે, તેમણે સારો નિર્ણય લીધો છે અને જો રાજકારણ માં‎આગળ વધવું હોઈ તો ઝઘડિયા વિધાનસભા જ પકડી રાખવી પડશે.‎

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુપી SIR- દર પાંચમો મતદાર લિસ્ટની બહાર; બાંગ્લાદેશમાં ફરી હિન્દુની હત્યા, ગુજરાતની એકસાથે 6 કોર્ટમાં બ્લાસ્ટની ધમકીથી અફરાતફરી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર યુપી SIR (એસઆઈઆર) સાથે જોડાયેલા રહ્યા. રાજ્યમાં દર પાંચમો મતદાર લિસ્ટની બહાર થઈ ગયો છે. બીજા મોટા સમાચાર બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાઓ સંબંધિત ચાર અલગ-અલગ અરજીઓ સાથે સંકળાયેલા કેસની સુનાવણી શરૂ કરશે. કાલના મોટા સમાચારો 1. ઉત્તર પ્રદેશ SIR ડ્રાફ્ટ લિસ્ટમાં 2.89 કરોડ નામ કપાયા:હવે 12.55 કરોડ મતદારો, આ પહેલા 11 રાજ્યોમાંથી 3.69 કરોડ લોકોના નામ હટાવાયા યુપીમાં SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ ગઈ છે. તેમાં 2.89 કરોડ (18 ટકા) નામો કાપી નાખવામાં આવ્યા છે. પહેલા રાજ્યમાં 15.44 કરોડ મતદારો હતા, હવે 12.55 કરોડ મતદારો બાકી રહ્યા છે. લોકો ચૂંટણી પંચની વેબસાઇટ પર જઈને ડ્રાફ્ટ મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકે છે. જે લોકોના નામ નથી, તેઓ 6 ફેબ્રુઆરી સુધી દાવા કરી શકે છે. ફોર્મ 6 અથવા 7 ભરીને નામ ઉમેરાવી શકે છે. યુપી પહેલાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની SIR ડ્રાફ્ટ મતદાર યાદી આવી ગઈ છે. તેમાં 3.69 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બાંગ્લાદેશમાં 18 દિવસમાં 6 હિન્દુની હત્યા:દુકાનદાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો; વધતી હિંસા અંગે ફેસબુક પોસ્ટ કરી હતી બાંગ્લાદેશના નરસિંદી જિલ્લામાં સોમવારે રાત્રે એક હિન્દુ દુકાનદારની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ 40 વર્ષીય શરત ચક્રવર્તી મણિ તરીકે થઈ છે. સ્થાનિક મીડિયા મુજબ, છેલ્લા 18 દિવસમાં આ છઠ્ઠા હિન્દુ વ્યક્તિની હત્યા છે. રિપોર્ટ અનુસાર, શરત ચક્રવર્તી મણિ પલાશ ઉપજિલ્લાના ચારસિંઘુર બજારમાં પોતાની કરિયાણાની દુકાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મોદી-શાહની કબર ખોદાશે:JNUમાં નારેબાજી; શરજીલ-ઉમરના સમર્થનમાં પ્રદર્શન, દિલ્હી રમખાણ કેસમાં ગઈકાલે જામીન નામંજૂર થયા હતા દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના સમર્થનમાં સૂત્રોચ્ચારનો વીડિયો મંગળવારે સામે આવ્યો. વીડિયો 35 સેકન્ડનો છે. એમાં વિદ્યાર્થીઓ 'મોદી-શાહની કબર ખોદાશે, JNUની ધરતી પર' નારા લગાવતા અને ગાતા જોવા મળ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન નામંજૂર થવાનો વિરોધ કરી રહ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે, જોકે JNU સ્ટુડન્ટ્સ યુનિયનના અધ્યક્ષ અદિતિ મિશ્રાએ જણાવ્યું હતું કે દર વર્ષે વિદ્યાર્થીઓ 5 જાન્યુઆરી 2020ના રોજ કેમ્પસમાં થયેલી હિંસાની નિંદા કરવા માટે વિરોધ પ્રદર્શન કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચાંદી ₹2.45 લાખની ઓલ ટાઈમ હાઈ પર:આજે ₹7,725 મોંઘી થઈ, સોનું ₹741 વધીને ₹1.37 લાખ પર પહોંચ્યું ચાંદી આજે એટલે કે 6 જાન્યુઆરીએ તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર એક કિલો ચાંદીની કિંમત 7,725 રૂપિયા વધીને 2,44,788 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા તેની કિંમત 2,37,063 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 741 રૂપિયા વધીને 1,36,909 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા તે 1,36,168 રૂપિયા પર હતો. સોનું 29 ડિસેમ્બર 2025ના રોજ 1,38,161 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કોંગ્રેસે મોદી-ટ્રમ્પનો AI VIDEO પોસ્ટ કર્યો:વડાપ્રધાને કહ્યું- હું જનતા પર બોજ લાદી દઈશ, બસ તમે મારાથી ખુશ થઈ જાઓ, બીજું મારે કંઈ નથી જોઈતું કોંગ્રેસે મંગળવારે સોશિયલ મીડિયા પર પીએમ મોદી અને ટ્રમ્પનો 43 સેકન્ડનો AI જનરેટેડ વીડિયો X પર પોસ્ટ કર્યો. કેપ્શનમાં લખ્યું છે, 'મોદીના ડરનો ભોગ દેશ બની રહ્યો છે.' વીડિયોમાં મોદી અને ટ્રમ્પને કોલ પર વાત કરતા બતાવવામાં આવ્યા છે. પીએમ, ટ્રમ્પને કહે છે કે જેવું-જેવું તમે કહેશો હું તેવું-તેવું કરીશ. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા રશિયાથી તેલ આયાત ઘટાડવા અંગે નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે 5 જાન્યુઆરીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ભારતે આ નિર્ણય તેમને ખુશ કરવા માટે લીધો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'કોર્ટમાં RDX મૂક્યો છે, 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશો ખાલી કરે':રાજકોટ કોર્ટ પરિસરમાં ડ્રોન મળ્યું, હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી સવારે ગુજરાત હાઇકોર્ટ તથા રાજ્યનાં વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ ધમકી LTTE(લિબરેશન ટાઇગર ઓફ તમિળ ઇલમ) દ્વારા આપવામાં આવી છે તેમજ તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે. જ્યારે તપાસ દરમિયાન રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં તપાસ દરમિયાન SOG ટીમને એક ડ્રોન મળ્યું હતું. જો કે તપાસમાં આ ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 108 અશ્વો વચ્ચે PM મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે:સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય રોડ શો થશે; 'ડ્રીમ પ્રોજેક્ટ'ની ડિઝાઇન ફાઇનલ થઈ શકે છે PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવશે. તેમના 2 દિવસીય પ્રવાસને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે 8થી 11 જાન્યુઆરી દરમિયાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી કરવામાં આવશે, જ્યાં આગળ-પાછળ 108 અશ્વો વચ્ચે PM મોદીની સ્વાભિમાન યાત્રા પણ યોજાશે. ચર્ચા છે કે સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર 2 કિ.મી. લાંબા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતા બેનર્જીનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ:કહ્યું- SIR ભાજપના IT સેલની મોબાઈલ એપ્સ દ્વારા થઈ રહ્યું છે, આ બધું નહીં ચાલે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકી ઓપરેશનમાં ઘાયલ થયા માદુરોની પત્ની:આંખોમાં ઇજા, પાંસળીઓમાં ફ્રેક્ચર; સૈનિકોએ બેડરૂમમાંથી ખેંચીને બહાર કાઢી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઇન્દોરમાં મોત:હાઇકોર્ટે સરકારના જવાબને અસંવેદનશીલ ગણાવ્યો:આ ઘટનાથી દેશભરમાં શહેરની છબી ખરડાઈ; ભગીરથપુરામાં 38 નવા દર્દીઓ મળી આવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ડેનમાર્કના PMએ કહ્યું- ગ્રીનલેન્ડ પર હુમલો કર્યો તો નાટો ખતમ:PMએ કહ્યું- પછી કંઈપણ નહીં બચે, ટ્રમ્પે કબજો કરવાની ધમકી આપી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હોમ, કાર અને પર્સનલ લોનના EMI ઘટશે!:RBI વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કરી શકે, 2026માં લોન વધુ સસ્તી થવાની અપેક્ષા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : શ્રેયસ અય્યરે ફિટનેસ સાબિત કરી:વિજય હજારે ટ્રોફીમાં ફિફ્ટી ફટકારી; સિરાજે 3 વિકેટ લીધી, મયંક અગ્રવાલની સદી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વર્ષ 2026ની પહેલી અંગારકી ચતુર્થી:લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે વ્રત વધુ ફળદાયી, સંકટ ચોથના શુભ મુહૂર્ત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ચોરી કરવા ગયેલો ચોર એક્ઝોસ્ટ ફેનના હોલમાં ફસાયો રાજસ્થાનના કોટામાં ચોરી કરવા ઘરમાં ઘુસેલો ચોર કિચનના એક્ઝોસ્ટ ફેનના હોલમાં ફસાઈ ગયો. મકાન માલિક ખાટુશ્યામ દર્શન માટે ગયા હતા. તેઓ પરત ફર્યા ત્યારે ચોરને ફસાયેલો જોયો. ઘટનાની જાણ થતા પોલીસે ભારે મહેનત બાદ ચોરને બહાર કાઢ્યો અને તેની ધરપકડ કરી. ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 1980માં બે ભાઈઓએ ચાંદી 7 ગણી મોંઘી કરી દીધી, પછી કેવી રીતે ઘટ્યા ભાવ, શું 2026માં પણ ચાંદી અડધાથી વધુ ઘટી જશે? 2. લાલ ઇશ્ક-2 : સોનમ-રાજા જેવો કેસ અમદાવાદમાં બન્યો: યુવતીને સગા મામાના દીકરા સાથે અનૈતિક સંબંધ બંધાયો, લગ્નના ત્રીજા જ દિવસે પતિનું કાસળ કાઢી નાખ્યું 3. 3 વર્ષની બાળકી, 6 મહિનાના બાળકને બ્રિજ પરથી ખાડીમાં ફેંક્યાં: માસૂમનું કાદવમાં મોત, 100 કિલોમીટર દૂર માતાની પણ હત્યા થઈ, અપહરણ અને પ્રેમપ્રકરણમાં તપાસ ગૂંચવાઈ 4. ભાસ્કર ઈન્ટરવ્યૂ : ‘હું હિન્દુ છું, બાંગ્લાદેશની પાર્ટીઓ ઈચ્છતી નથી અમે સંસદ પહોંચીએ’: હિન્દુવાદી નેતાનું નામાંકન રદ, કહ્યું- દેશમાં અમારા માટે નફરત 5. Editor's View: ખોમૈનીનો ખેલ ખતમ!:ઇરાન છોડી ભાગવાની ફિરાકમાં, Gen-Zના વિદ્રોહથી ઇસ્લામિક દેશ ધ્રુજ્યો, પેટ્રોલ-ડીઝલ ભડકે બળી શકે, મોરબીને મોટો ફાયદો સંભવ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:તુલા રાશિના જાતકોને પરિવારનો સહયોગ અને કુંભ જાતકોને અપાર સફળતા મળશે, વૃશ્ચિક જાતકોએ ગુસ્સા પર નિયંત્રણ રાખવું વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 5:00 am

આંતરિક બદલી:ભરૂચ જિલ્લાના 200 માંથી 150 જેટલા ‎શિક્ષકોને આંતરિક બદલી હુકમ મળ્યા‎

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોની આંતરિક બદલી નો પ્રથમ રાઉન્ડ પૂર્ણ હવે બીજા રાઉન્ડનો પ્રારંભ થયો. પહેલા રાઉન્ડમાં 150 જેટલા શિક્ષકોને પસંદગીની ગયા મળી જ્યારે 50 જેટલા શિક્ષકોને તેમની પસંદગીની જગ્યા મળી નહીં. ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળાના 250 જેટલા શિક્ષકોએ જિલ્લા આંતરિક બદલી માટે લૉગિન કર્યું હતું. તેમાંથી 200 જેટલા શિક્ષકો ની અરજી પ્રાથમિક શિક્ષણ વિભાગને મળી હતી. જે તમામ અરજીની નિયમો મુજબ તપાસ કરીને નિયામકની કચેરીએ મોકલવામાં આવી હતી. ત્યારબાદ 150 જેટલા શિક્ષકોને જિલ્લા આંતરિક બદલીના ઓનલાઈન ઓડર થયા છે. જે કિસ્સામાં એક્જ શાળામાં એક જગ્યા માટે એક થી વધુ શિક્ષકે અરજી કરી હશે. તો શિક્ષકોની શાળામાં દાખલ તારીખ મુજબ પ્રાથમિકતા આપવામાં આવી છે. આમ 50 જેટલા શિક્ષકોને તેમની પસંદગી જગ્યા મળી ન હતી. જિલ્લા આંતરિક ફેર બદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગત રોજ થી બીજા રાઉન્ડ ચાલુ થતાં આંતરિક બદલી માટે શિક્ષકો અરજી કરી જેતે શાળામાં ખાલી જગ્યા માટે અરજી કરી શકશે. પ્રાથમિક શિક્ષકો આંતરિક બદલી માટે બે દિવસ દરમિયાન બદલી માટે ફોર્મ ભરશે. ત્યારબાદ ફોર્મની ચકાસણી તાલુકા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. અરજી તપાસી ફોર્મ મંજૂર ના મંજૂર કરવાની પ્રક્રિયા ચાલશે. અને 16 જાન્યુઆરી એ મંજૂર થયેલ અને શિક્ષકોને નિયમ મુજબ બીજા રાઉન્ડ ના હુકમ ઓનલાઇન જારી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:58 am

લોકોના આરોગ્ય સાથે ચેડા:ગોવિંદીમાં ભેળસેળયુક્ત પનીરનું ગોડાઉન ઝડપાયું

ગોધરાના ગોવિંદી ગામે ગોડાઉનમાં એસઓજી પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને છાપો મારીને ભેળસેળ યુક્ત 105.320 કિલોગ્રામ પનીરના જથ્થા સાથે એકને પકડી પાડયો હતો. ઉલ્લેખનિય છે કે, આ વેપારી મહેસાણાથી શંકાસ્પદ પનીર મંગાવીને છેલ્લા ઘણા સમયથી વેચાણ કરતો હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા પનીરના સેમ્પલ લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. રાજ્યમાં આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ અંગે સઘન ચેકિંગ કરવા આદેશ અપાયો હતો. ત્યારે ગોધરાની ધનેશ્વરી સોસાયટીમાં રહેતો કિશન સુભાષભાઇ વિરવાણીએ ગોધરાના ગોવિંદી ગામના પીપળીયા ફળીયામાં પોતાના કબજાના ગોડાઉનમાં શંકાસ્પદ પનીરનો જથ્થો વેચાણ કરવા માટે રાખ્યો છે. તેવી બાતમી એસઓજીને મળતા પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને ગોવિંદી ગામના ગોડાઉન પર છાપો માર્યો હતો. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા શંકાસ્પદ 105.320 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લઇને લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. પોલીસે રૂા.24,223ના ભેળસેળયુક્ત પનીરના 105 કિલો જથ્થા સાથે કિશન વિરવાણીની અટકાયત કરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા આ પનીરનો જથ્થો મહેસાણા ખાતેથી લાવ્યો હતો. ભેળસેળવાળુ પનીર હાઇવે પરની હોટલો પર વેચાણ કરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. કિશન વિરવાણી છેલ્લા ઘણા સમયથી મહેસાણાથી ભેળસેળ પનીરનો જથ્થો મંગાવીને વેચાણ કરતો હતો. એસઓજીએ પનીરનો જથ્થો કબજે કરીને સમગ્ર મામલાની તપાસ ગોધરા શહેર એ ડિવિઝનને સોપી હતી. ફૂડ વિભાગે લેબોરેટરીમાં મોકલેલ શંકાસ્પદ પનીરનો રિપોર્ટ 14 દીવસમાં આવી જશેનું જાણવા મળી રહ્યુ છે. વનસ્પતિ તેલમાં મિક્ષ કરીને પનીર બનાવતા હતાવનસ્પતિ તેલ મિક્ષ કરી બનાવેલું ભેળસેળીયું “પનીર” આરોગ્ય માટે યોગ્ય નથી. કારણ કે એ મૂળ દૂધમાંથી બનતું નથી, પરંતુ સસ્તું બનાવવા માટે વનસ્પતિ તેલ અને મિલ્ક સોલિડ્સથી તૈયાર કરવામાં આવે છે. એડિટિવ્સ અને કેમીકલ્સ ઉમેરાતા હોવાથી લાંબા ગાળે જોખમરૂપ હોય છે. મહેસાણાથી લાવી પનીર ગોધરામાં વેચાતું હતું2 જાન્યુઆરીના રોજ મહેસાણાના દેદિયાસણ નજીક નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મહાકાળી, નમક મિલ્ક ડેરીમાંથી રૂા.2.60 લાખનો પનીરનો 1178 કિલો શંકાસ્પદ જથ્થો પકડાયો હતો. આ પનીર ઓછા ફેટના દૂધમાં વનસ્પતિ તેલ મિલાવીને ભેળસેળવાળુ પનીર બનાવી વેચતા હતા. તપાસમાં મહેસાણાથી ભેળસેળવાળુ પનીર અમદાવાદ, ગોધરામાં વેચાણ કરેલા બિલ મળી આવ્યા હતા. કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય‎રોગનો હુમલો આવી શકે છે‎ભેળસેળિયું પનીર ખાવાથી ડાયેરિયા અને‎વોમિટીંગ સાથે આંતરડામાં એન્ટ્રાઇટિસ્ટ થઈ‎શકે છે.ઊબકા અને ઊલટી આવી શકે છે. વધુ‎પડતું આવું પનીર ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાથી‎નળીઓ બ્લોક થાય છે અને હૃદય રોગનો હુમલો‎પણ આવી શકે છે.ભેળસેળિયું પનીર આરોગ્ય‎માટે હાનિકારક છે: ડો. પી. સાગર, સર્જન‎

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:52 am

અકસ્માત:રોડ ક્રોસ કરતાં ડમ્પરના તોતિંગ ટાયર નીચે ચગદાઇ જતા મોત

ઝરોલા ગામે એક હૃદય કંપાવી દેતો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં માત્ર 5 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશુનું કરુણ મોત નિપજ્યું હતું. ઝરોલાના સંગીતાબેન ગોપસીંગભાઇ લવાર 5 વર્ષીય દિવ્યાંશુ સાથે છાપરવડ ગામે દયણું દળાવવા ગયા હતા. દયણું દળાવી પરત ફરતી વેળાએ બંને સ્ટેશન ફળિયા વિસ્તારમાં રોડ ઉપર છકડામાંથી નીચે ઉતર્યા હતા. તે સમયે સંગીતાબેન છકડાવાળાને ભાડું આપવા ગયા હતા. જ્યારે દિવ્યાંશુ રસ્તો ઓળંગી રહ્યો હતો. આ દરમિયાન ડમ્પરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દિવ્યાંશુને અડફેટે લીધો હતો. બાળક ડમ્પરના તોતીંગ ટાયર નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ ચગદાઈને મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક થોડે દૂર વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. ઝરોલા સહિત આસપાસના ગામોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ મામલે નગીનભાઇ લવારે ડમ્પર ચાલક વિરુદ્ધ રંધીકપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફેટલ અકસ્માત નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. માસૂમના અવસાનથી માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:31 am

તપાસમાં ઘટસ્ફોટ:હર્ષલ હૉસ્પિટલનો સર્જન 16 વર્ષની સંજનાના પેટમાં કોટન ભૂલી ગયો,સર્જરીના 3 માસની પીડા પછી મોત

વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર આવેલી હર્ષલ હૉસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે 16 વર્ષની વિદ્યાર્થિનીએ 3 મહિના સુધી પીડા ભોગવ્યા બાદ જીવ ગૂમાવ્યો છે. પાણીની ગાંઠના ઑપરેશન દરમિયાન વિદ્યાર્થિનીના પેટમાં તબીબ કોટન ભૂલી જતા તેના શરીરમાં સંક્રમણ ફેલાયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. પરિવારે તબીબ ડૉ. વિજયકુમાર સિંહ વિરુદ્ધ ફરિયાદની ચીમકી ઉચ્ચારી છે. મકરપુરાની પાર્થભૂમિ સોસાયટી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ વાઘેલાની 16 વર્ષીય દીકરી સંજનાને ઓક્ટોબરમાં પેટમાં દુખાવો થતા હર્ષલ હૉસ્પિટલમાં લઇ જવામાંં આવી હતી. તેના પેટમાં પાણીની ગાંઠ હોવાનું નિદાન થતાં 11 ઓક્ટબરે ઑપરેશન કરાયું હતું. 14 ઑક્ટબરે સવારે 9.30 કલાકે રજા અપાઇ હતી. બાદમાં તેને દુ:ખાવો થતાં બપોરે દોઢ વાગે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તબીબે પરિવારને ગાંઠ કાઢી છે જેથી તે જગ્યા ખાલી થઈ ગઈ છે તેના કારણે તેને દુખાવો થઈ રહ્યો હોવાનું જણાવતાં પરિવારે પણ વાત માની લીધી હતી. જોકે સંજનાને અસહ્ય દુખાવો થતાં તેને ફરી વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ તેને 18 ઓક્ટોબરે રજા આપવામાં આવી હતી. દિવાળીના દિવસે તેને ફરી દુ:ખાવો છતાં તબીબની સલાહ થતાં રાત્રીના દોઢ વાગે તેને એક ઈજેક્શન આપવામાં આવ્યું હતું. બેસતા વર્ષની રાત્રે 3.30 વાગે તેને ફરી દુ:ખાવો થતાં તબીબના કહ્યા અનુસાર સંજનાને દવા આપવામાં આવી હતી. સતત સારવાર બાદ 27 ઓક્ટોબરે તેને દુ:ખાવો થતાં તેને મકરપુરાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રથમ નિદાનમાં આવ્યું હતું કે તેને આંતરડામાં મળ જમા થઈ ગયો છે. નવેમ્બર મહિનામાં સંજના 5 વાર હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ફરી 27 નવેમ્બર મહિનામાં સંજનાને દાખલ કરવામાં આવી હતી અને સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. જે બાદ 1 ડિસેમ્બરે તેનું ફરી ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પેટમાંથી અસામાન્ય માત્રામાં કોટન કાઢવામાં આવ્યું હતું. જે બાદ પણ તેની તબિયત સુધરી નહોતી. સોમવારે સાંજે 6 વાગે તેનું હોસ્પિટલમાં મોત થતાં મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારે જણાવ્યું કે તેઓ હર્ષલ હૉસ્પિટલના તબીબ ડૉ.વિજયકુમાર સિંહની સામે ફરિયાદ કરશે. હોસ્પિટલની બેદરકારીને પરિણામે 16 વર્ષની દીકરીનું મોત થયું છે. ઘટના સંદર્ભે હર્ષલ હૉસ્પિટલમાં સંપર્ક કરતાં તબીબનો સંપર્ક થઈ શક્યો નહોતો. હજુ હર્ષલ હૉસ્પિટલનું બિલ ચૂકવવાનું બાકી છેપિતા હિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ‘સંજનાને સારી સારવાર મળે તે માટે હું મકરપુરાની હોસ્પિટલ લઈ ગયો હતો. તબીબે મને જણાવ્યું કે, જેણે સંજનાનું ઓપરેશન કર્યું તેણે બેદરકારી દાખવી છે, તેના આતંરડા સડી ગયા છે. દોઢ મહિનો તેની સારવાર કરાવી, હજુ બીલ ચૂકવવાનું બાકી છે. ગાંઠ બાબતે પણ શંકાઓપરેશન બાદ પરિવારને 1 કલાક બાદ ગાંઠ બતાવવામાં આવી હતી. ગાંઠ જોઇને પરિવારને શંકા ગઇ હતી કે પેટમાં આટલી મોટી ગાંઠ કઈ રીતે હોઈ શકે? આ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર મળ્યો નથી.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:15 am

કંપનીઓને સાધનો બનાવાની તક મળી:વડોદરાની સ્મૉલ સ્કૅલ કંપનીએ રશિયાથી 35 ટકા ઓછી કિંમતે બનાવેલાં સાધન કુડાનકુલર મોકલાયાં

ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાની સ્મોલ સ્કેલ કંપનીએ તૈયાર કરેલા 3 સાધનો ગુરૂવારે સવારે રવાના કરવામાંં આવ્યાં હતાં. શહેરની કંપની હાઇ ફેબે તૈયાર કરેલા સાધન રશિયા કરતા 35 ટકા સસ્તા ભાવે તૈયાર થયાનું મહેશભાઇ શર્માએ જણાવ્યું હતું. કંપનીએ મલ્ટીનેશનલ કંપની સામે ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. જે અંગે કંપનીએ જણાવ્યું હતું કે, મોટી કંપની સામે 5 ટકા સુધી વધુ ભાવ આવ્યા હોય તો પણ એમએસએમઇને કોન્ટ્રાકટ અપાય છે. રામેશ્વર ખાતે બની રહેલો આ પાવર પ્લાન્ટ રશિયા દ્વારા બનાવાઇ રહ્યો છે.રશિયા ભારતમાં જ સારાં સાધનો બને અને તેમની કંપનીઓને ઉપયોગી થાય તેવું ઇચ્છે છે. સરકારે ન્યુક્લિયર પૉલિસીમાં ફેરફાર કર્યો છે. કંપનીઓને સાધનો બનાવાની તક મળી છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:14 am

છેતરપિંડી:મકરપુરાના વિશાલે ટુ-વ્હીલરનું લાઇસન્સ આપીશ કહી 7 હજાર પડાવતાં ગુનો દાખલ

ટુ-વ્હીલરનું લાઇસન્સ કાઢવા માટે રૂા.7 હજાર પડાવી લેનારા મકરપુરાના વિશાલ પટેલ વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. વિશાલે કુલ 4 લોકો પાસેથી લાઇસન્સ કઢાવી આપવા માટે રૂા.28 હજાર પડાવી લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મકરપુરાના જશોદા કોલોનીમાં રહેતા પરેશ વસાવાએ ટુ-વ્હીલરનું લાઇસન્સ કઢાવ્યું ન હતું. જોકે હવે લાઈસન્સ કઢાવવાની જરૂરિયાત ઉભી થતાં તેમને પોતાના સહકર્મી મુકેશભાઈ બારીયાને આ અંગે વાત કરી હતી. મુકેશભાઈએ લાઇસન્સ માટે વિશાલ પટેલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવી આપ્યો હતો. વિશાલ પટેલને લાઇસન્સ કઢાવી આપવા માટે રૂા.7 હજાર યુ.પી.આઈ મારફતે આપ્યાં હતાં. જોકે ઘણા દિવસ બાદ પણ લાઇસન્સ ન આવતા યુવકે વિશાલનો સંપર્ક કરતા તેને ફોન ઉપાડ્યો ન હતો. અને ફોન ઉપાડે તો ધાક-ધમકી આપતો હતો. જેથી પરેશભાઈએ વિશાલ વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જ્યારે વધુ તપાસ કરતા ગઠિયાએ પરેશભાઈની કંપનીમાં જ નોકરી કરતા મુકેશ ભારીયાના રૂા.10 હજાર, કમલેશ કોલીના રૂા.4 હજાર અને હસમુખ પરમારના રૂા.7 હજાર આમ કુલ રૂા.28 હજારની રકમ લઈને છેતરપિંડી કરી હતી. મકરપુરા પોલીસે વિશાલ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:11 am

કાર્યવાહી:પ્રતિબંધિત ચાઇનીઝ દોરા અને કાચના પાઉડર સાથે બે વેપારીઓની અટકાયત

ઉત્તરાયણ નજીક આવતા જ પોલીસ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા કરનારને ઝડપી રહી છે. બીજી તરફ દોરાને માંજો લગાવવામાં કાચના પાઉડરનો ઉપયોગ કરનાર વેપારીને ઝડપી પાડી જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી છે. મકરસંક્રાંતિ તહેવાર સમયે કેટલાક લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરે છે. જેના કારણે મનુષ્ય, પ્રાણી અને પક્ષીઓને ગંભીર ઇજા અને કેટલાક કિસ્સામાં મોતના બનાવો બને છે. બીજી તરફ લોખંડ પાઉડર, કાંચનો પાઉડરનો વેપાર કરનારાની પોલીસે તપાસ હાથ ધરી હતી. સમા કેનાલ પાસે રહેતા બિપીનચંદ્ર પ્રફુલભાઈ જાનીને પોલીસે ઝડપ્યા હતા. એની પાસે રહેલા થેલામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 33 રીલ કિંમત 16.5 હજાર જપ્ત કરી કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં પરિવાર ચાર રસ્તા પાસે દોરા માંજવાનું કામ કરતા કુણાલ દિપેશભાઈ મહેતા ને ત્યાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. જેમાં દોરો માંજવા માટે વપરાતો કાંચના પાવડરનો 13 કિલો જથ્થો અને એના ઉપયોગથી માંજેલી 3 ફીરકી જપ્ત કરી કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માટે પોલીસની કડકાઈ જરૂરી છેઉતરાયણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચના પાવડરનો ઉપયોગ કરવાથી માનવ અને પશુ પક્ષીઓનો જીવ જાય છે. ચાઇનીઝ દોરા અને કાચના પાવડરના ઉપયોગથી તૈયાર થયેલા દોરાથી સામાન્ય દોરા કરતાં ઇજાઓ થવાની શક્યતાઓ વધી જાય છે. કેટલાક કિસ્સામાં જાન પણ જાય છે.ત્યારે સરકારે મૂકેલા પ્રતિબંધોનો કડક પણ અમલ કરવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:10 am

ચેક બાઉન્સના કેસમાં દોઢ વર્ષની સજા અને 1.50 લાખનો દંડ:દોઢ વર્ષની કેદ થયાના બીજા જ દિવસે કેદી જેલમાં ઢળી પડ્યા,સારવાર દરમિયાન મોત

ચેક બાઉન્સના કેસમાં કોર્ટે સજા ફટકારતા પૌઢને સોમવારે વડોદરા સેન્ટ્રલ જેલ લવાયા હતા. મંગળવારે જેલમાં કેદી ઢળી પડતાં સારવાર અર્થે એસએસજીમાં લવાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. ભાયલીના શ્રીમ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય પ્રિતેષ જાધવને મકાનની લોન ચાલતી હતી. જેના હપ્તાની રકમનો ચેક બાઉન્સ થતાં કોર્ટે દોઢ વર્ષની સજા અને 1.50 લાખનો દંડ કર્યો હતો. જેથી પ્રૌઢને સોમવારે વડોદરા સેન્ટ્રલ જેલમાં લવાયા હતા. મંગળવારે સવારે જેલમાં નાસ્તો કરતા સમયે પ્રૌઢ ઢળી પડ્યા હતા. જેલમાં હાજર તબીબે પ્રિતેષભાઈને સીપીઆર આપ્યો હતો. જોકે વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ લવાયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. જેલમાં લાવ્યાના 24 કલાક પણ નહોતા થયાં અને કેદીનું મોત થયું હતું. ઉચ્ચ અધિકારીઓએ પ્રિતેષભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અમે કહ્યું કે, મારા પતિને હૃદયની તકલીફ છે, તે ઠંડીમાં જેલમાં નહીં રહી શકેચેક બાઉન્સના કેસમાં તેમને કહેવામાં આવ્યું હતું કે, 2 દિવસ તેઓને જેલમાં રહેવું પડશે. પણ તેઓની માનસિક-શારીરિક હાલત સહેજ પણ ઠીક નહોતી.અમે આ વાત અમારા વકીલને પણ કરી હતી. તેવું મને જણાવવામાં આવ્યું હતું. અમને અમારા મકાન માલિક નિરજ ભાટીયા પરેશાન કરતા હતા. અમે આ મકાનમાં 5 વર્ષથી રહેતા હતા. અમે તેઓને હપ્તો પણ આપતા હતા. અમે તેઓને કહ્યું હતું કે, તમે લોન કરી આપો, અમે તેઓને દર મહિને નિયમિત 22 હજાર રૂપિયા આપતા હતા. અમે કહ્યું હતું કે, તેઓને હ્રદયની તકલીફ છે, તેઓ ઠંડીમાં નહીં રહી શકે, મારા પતિનું ઠંડીના કારણે મૃત્યુ થયું છે. તેઓને હ્રદયમાં કાણું પડી ગયું હતું, તેનું ઓપરેશન કરવાનું હતું. ચેક બાઉન્સ થયો હતો, પણ અમે સમય માંગ્યો હતો કે, એક મહિનામાં અમે રૂપિયા ચૂકવી દઈશું. મકાન માલિક અમને અવાર-નવાર ઘરે આવીને કહેતો હતો કે, મકાન ખાલી કરી દો. પ્રિતેષ જાધવની પત્ની સાથે થયેલી વાતચીત અનુસાર

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:09 am

માર્ગ સલામતીનાં સૂત્રો લખેલી 2500 પતંગો પણ આપવાનું આયોજન:RTO કચેરી વાહન ચાલકોને આજે 1 હજાર સેફ્ટી ગાર્ડનું વિતરણ કરશે

આજથી આરટીઓ કચેરી નવતર અભિયાન કરશે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અને ઉત્તરાયણ નિમિત્તે આજથી બુધવારથી આરટીઓ ટીમ દ્વિચક્રી વાહનચાલકોને અટકાવશે પણ તેમને દંડ કરવાના બદલે એક ભેટ આપશે. આ ભેટ વાહનચાલકોને રસ્તા પર સલામતી માટેની હશે. આરટીઓ કચેરી દ્વિચક્રી વાહનોના આગળના ભાગે સેફ્ટી વાયર ચાલકોને ફીટ કરી આપશે. અન્ય એક અભિયાન અંતર્ગત ઉત્તરાયણની સમાંતરે માર્ગ સલામતીના સૂત્રો લખેલી 2500 પતંગો પણ ભેટમાં આપશે. દ્વિચક્રી વાહનચાલકો રસ્તા પર વાહન હંકારતા હોય ત્યારે સલામત રહે તેવા આશયથી 1 હજાર સેફ્ટીગાર્ડનું વિતરણ કરાશે. આ અભિયાનોથી લોકોમાં આરટીઓ માટે હકારાત્મક અભિગમ પણ ફેલાશે. ઓર્ડર આપીને મોટા કદની પતંગો ખાસ તૈયાર કરાવીઆ નવતર પ્રયોગ વિશે આરટીઓ અધિકારી કેતન ખપેડ જણાવ્યું કે, ‘આ પતંગોને ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાવ્યા છે. લોકો તેને ચગાવે તેવી પણ ભાવના હોવાથી મોટા કદના તૈયાર કરાયા છે. પતંગોત્સવ દરમિયાન આરટીઓ કચેરી દ્વારા પતંગ અને સેફ્ટી ગાર્ડ એક સાથે વહેંચવાનો આ પ્રથમ પ્રયોગ છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:08 am

વિદ્યાર્થિની મળતાં હાશકારો:લક્ષ્મીપુરાની શાળામાંથી છૂટી વિદ્યાર્થિની ઇસ્કોનની કથામાં પહોંચી,મોડી રાત સુધી ઘરે ન જતાં દોડધામ

લક્ષ્મીપુરા રોડની ખાનગી શાળામાંથી નીકળી ધો-10ની વિદ્યાર્થીની પરિવારને જાણ કર્યા વગર ગોત્રી ઈસ્કોન મંદિર ખાતે કથામાં જતી રહી હતી. ત્યારબાદ મોડી રાત સુધી તે ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતિત થયા હતા અને ગોરવા પોલીસને જાણ કરી હતી. પોલીસે સતત છ કલાક તપાસ કરીને વિદ્યાર્થીનીને શોધી કાઢી પરિવારને સોંપી હતી. લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલી ખાનગી શાળામાંથી 15 વર્ષીય વિદ્યાર્થીની સોમવારે સ્કૂલથી સાડા બાર વાગે છૂટી સાઇકલ લઈને ગોત્રી ઈસ્કોન મંદિર પહોંચી ગઈ હતી. જોકે વિદ્યાર્થીની ઘરે ના પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. વિદ્યાર્થીની ઈસ્કોન મંદિરમાં જમી હતી. ત્યાર બાદ પાસે આવેલા શિવજીના મંદિરે જઈને ભક્તિ કરવા લાગી હતી. પરિવાર વિદ્યાર્થીનીને શોધતા 10 વાગ્યાની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સીસીટીવી આધારે ઈસ્કોન મંદિર પહોંચી હતી. જ્યાંથી વિદ્યાર્થિનીની સાઇકલ મળી હતી. પોલીસ ઈસ્કોન મંદિરના સીસીટીવી પણ તપાસ્યા હતા. જ્યાં વિદ્યાર્થિની હાજરી મળી હતી. તપાસ કરતા વિદ્યાર્થિની ઈસ્કોન મંદિર પાછળના શિવજીના મંદિરમાંથી મળસ્કે ચાર વાગે મળી આવી હતી. પોલીસે તેના પરિવારને સોંપી હતી. સાઇકલ પર જતી વિદ્યાર્થિની સીસીટીવીમાં દેખાતાં કડી મળીગોરવા પોલીસે 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. શાળાએથી વિદ્યાર્થિની સાયકલ પર ઈસ્કોન મંદિર તરફ જતી દેખાઈ. ઈસ્કોન મંદિરના સીસીટીવીમાં પણ વિદ્યાર્થિની દેખાતાં પોલીસને આસપાસ સઘન ચેકિંગ કર્યું હતું. બસ સ્ટેશન, બગીચામાં પણ પોલીસે તપાસ કરી હતીગોરવા પોલીસને વિદ્યાર્થિની ગુમ થયા હોવાની જાણકારી મળતા જ પ્રાથમિક ધોરણે તેના ઘર નજીકના બાગ-બગીચા, રિક્ષા સ્ટેન્ડ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ખાતે વિદ્યાર્થીના ફોટો સાથે શોધખોળ કરી હતી. કૂતરાં ભસ્યાં અને વિદ્યાર્થિની શિવજી મંદિરેથી મળી આવીગોરવા પોલીસ વિદ્યાર્થિનીને શોધતી શોધતી ઈસ્કોન મંદિર પહોંચી હતી. જોકે ત્યાં ફક્ત સાયકલ મળી હતી. મળસ્કે પોલીસે મંદિર પરિસર તેમજ આસપાસ તપાસ શરૂ કરી હતી. જોકે શોધખોળ દરમિયાન ઈસ્કોન મંદિર પાછળ કૂતરા ભસતા હોવાથી પોલીસ ત્યાં તપાસ કરવા ગઈ હતી. વિદ્યાર્થિની શિવજીના મંદિરમાંથી ઉઠી હતી અને નીકળવાની તૈયારીમાં હતી. જોકે તે પહેલાં જ પોલીસે વિદ્યાર્થિનીને શોધી કાઢી હતી.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:07 am

સિટી એન્કર:ઇસ્કોનમાં પૂ.ઇન્દ્રેશજીની કથામાં શ્રોતાઓનો ધસારો,વીવીઆઇપી પાસને પણ પંચ કરવા પડ્યા, મંડપમાંથી 150 નકલી પાસ પકડાયા

શહેરમાં પ્રથમ વખત યોજાયેલી પૂ.ઇન્દ્રેશજી મહારાજની ભાગવત કથામાં આમંત્રિતો સાથે સામાન્ય શ્રોતાઓનો ભારે ધસારો થતાં અવ્યવસ્થા સર્જાઇ હતી. જેને પગલે વીવીઆઇપી પાસને પંચ કરી શ્રોતાઓને અંદર જવા દેવાતા હતા. અંદર ગયા બાદ પણ પાસનું ફરી વખત ચેકિંગ કરાતું હતું. જેમાં 150 નકલી પાસ પકડાયા હતા. ગોત્રી ઇસ્કોન મંદિરના ગ્રાઉન્ડમાં વૃંદાવનના કથાકાર પૂ.ઇન્દ્રેશજી મહારાજની ભાગવત કથા 3 જાન્યુઆરીથી ચાલી રહી છે. કથાનું આયોજન રાજસ્થાન જ્ઞાન ગંગા સમિતિ દ્વારા કરાયું છે. જોકે માત્ર મર્યાદિત લોકો પૂરતી આ કથા યોજાઈ છે. બીજી તરફ પૂ.ઇન્દ્રેશજીની લોકપ્રિયતાને પગલે મોટી સંખ્યામાં લોકો આવતાં વધુ એક મંડપ બાંધવાની ફરજ પડી હતી. જ્યારે પાસ પણ વેચાતા હોવાની ચર્ચા આયોજકોના કાને આવતાં તેમણે આ અંગે તુરંત તપાસ હાથ ધરી હતી. આયોજકોના જણાવ્યા મુજબ કથાના પાસ નિ:શુલ્ક આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે થ્રી લેયર સુરક્ષા અને ચકાસણી હાથ ધરવામાં આવશે. ભેજાબાજો પાસની ઝેરોક્સ કાઢી 1500થી 2 હજારમાં વેચી રહ્યા છેભાગવથ કથાના શ્રવણ માટે મોટી સંખ્યામાં લોકો રોજેરોજ પહોંચી રહ્યા છે. જોકે કથા મંડપમાં તપાસ દરમિયાન અંદાજે 150 જેટલા ડુપ્લિકેટ પાસ મળી આવતાં આયોજકો ચોંકી ઊઠ્યા હતા. જેને પગલે તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, સમિતિ દ્વારા મેમ્બરોને ફ્રી પાસ આપવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો તેની ઝેરોક્સ કઢાવી રૂા.1500થી 2 હજારમાં વેચી રહ્યા છે, જે ખોટું છે. નાગરિકો કોઇ પાસ ખરીદે નહીં.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:03 am

ભાસ્કર ઈનસાઈડ:રોડનાં 13 કામ ખોરંભે, પાલિકાએ 2 કોન્ટ્રાક્ટરોના કાન આમળ્યા,કામ શરૂ નહીં થાય તો કાર્યવાહી થશે

સમા, હરણી, છાણી સહિતના વિસ્તારમાં 6 રોડની કામગીરી ખોરંભે પડતાં રોડ પ્રોજેક્ટ વિભાગે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. બીજી તરફ ફતેગંજ, દાંડિયાબજાર, છાણી મેઇન રોડ પરના રસ્તાનું ખાતમુહૂર્ત થયું હોવા છતાં કામ શરૂ કરાયું નથી. શહેરમાં ઓક્ટોબરમાં 30 રોડના કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર અપાયો હતો, પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવાનું હોવાથી કામ શરૂ કરાયું નહોતું. તાજેતરમાં મુખ્યમંત્રીએ રોડના 122 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું છતાં કામ શરૂ ન થતાં રોડ પ્રોજેક્ટ વિભાગે કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી છે. કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સને 12 રોડની કામગીરીમાં વિલંબ થતો હોવાથી તાત્કાલિક કામ શરૂ કરવા સૂચના આપી છે. તેવી રીતે પરિવાર ચાર રસ્તાથી મહાદેવ તળાવ સુધી કામમાં મોડું કરનાર ગાયત્રી કન્સ્ટ્રક્શનને નોટિસ આપી બ્લેકલિસ્ટની ચેતવણી આપી છે. સમા, હરણીના રોડનાં કામો કોન્ટ્રાક્ટરે અધૂરાં છોડ્યાં ડિમાર્કેશન કરાયું ન હોવાથી જુદા જુદા 6 રસ્તાની કામગીરી અટકીફતેગંજ પેટ્રોલપંપથી બુલ્સ સર્કલ સુધીના રસ્તાનું રિસર્ફેસિંગ, દાંડિયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા અને જયરત્ન ચાર રસ્તા સુધીના રસ્તા, હરણી સ્કાય હાર્મોનીથી ગ્લેડ મર્ક્યુરી સુધી, છાણી મેઇન રોડથી સૈનિક છાત્રાલય સુધી, સમા કેનાલ શ્રીજી ઓરાથી લીલેરિયા એપાર્ટમેન્ટ, છાણી ટીપી 48માં રસ્તાનું ખાતમુહૂર્ત થયું છે. ટાઉન પ્લાનિંગ વિભાગે ડિમાર્કેશન ન કર્યું હોવાથી કામ શરૂ થયું નથી.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:02 am

ભારતીય ખેલાડી હયાત હોટલમાં, ન્યૂઝીલેન્ડની ટીમ વેલકમમાં રોકાશે:ભારત-ન્યૂઝીલેન્ડની ટીમ આજે વડોદરા આવશે, કાલથી 3 દિવસ પ્રેક્ટિસ કરશે

કોટંબીમાં ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડેની તૈયારી પૂરજોશમાં શરૂ કરાઈ છે. બંને ટીમ બુધવારે શહેરમાં પહોંચી જશે. બંને ટીમ માટે જુદી જુદી હોટલ બુક કરાઈ હતી. કોટંબીમાં 11મીએ ભારત-ન્યૂઝીલેન્ડની વન-ડે મેચ રમાશે. ભારતની ટીમ હયાત હોટલમાં રોકાશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ આઈટીસી વેલકમમાં રોકાશે સાથે મેચ ઓફિશિયલ્સ માટે આઈટીસી વેલકમમાં જ રોકાવાનું આયોજન કરાયું હતું. બીજી બાજુ મેચના પાસની સગવડ કરવા હજી ઘણા લોકો પોતાના સંપર્ક કામે લગાવી રહ્યા છે. જોકે બીસીએએ પાસનું વેચાણ હવે બંધ કરી દેવાયું છે અને ઠગોથી દૂર રહેવા અપીલ કરી હતી. બીજી તરફ બીસીએના 2 હજાર સભ્યોને સ્ટેડિયમના બે કોમ્પ્લિમેન્ટ્રી પાસ આપવાનું નક્કી કરાયું હતું. મંગળવારે એલેમ્બિક સંસ્કૃતિ હોલ અને મોતીબાગ મળી સવારે 10-30થી સાંજે 5-30 વાગ્યા સુધી 1200થી વધુ સભ્યને પાસ આપવામાં આવ્યા હતા. સભ્યોને જમવાની કુપન, પાર્કિંગ પાસ પણ આપવામાં આવ્યા હતા. સાથે જ તમામને કોટંબી સ્ટેડિયમના ગેટ-1થી પ્રવેશ મેળવવા કહેવાયું હતું. ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ કોટંબીમાં 3 દિવસ પ્રેક્ટિસ કરશે

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:01 am

સ્થાનિકો રોષે ભરાયા:ભોલેશ્વર-મોતીપુરા હાઈવે પર અંધારપટનો ઉકેલ નહીં આવે તો હાઈવે જામની ચીમકી

હિંમતનગરના મોતીપુરા આરટીઓ બાયપાસ પર ભોલેશ્વરને જોડતાં ચાર રસ્તાથી મોતીપુરા હાઈવે તરફના અંદાજે 1 કિમીના માર્ગ પર લાંબા સમયથી રોડ સાઈડની લાઈટો બંધ રહેતી હોવાથી કાયમ અંધારપટ રહેતાં સ્થાનિકો રોષે ભરાયા છે અને તંત્ર દ્વારા હાઈવેની લાઈટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો બાયપાસ હાઈવે બ્લોક કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. મોતીપુરા આરટીઓ સર્કલ બાયપાસ પર અંધાર પટની કાયમી સમસ્યા હોવાથી નાના વાહનો લઈને નીકળતાં અને રાહદારીઓ માટે રાત્રિનો સમય જોખમી બની રહે છે. બાયપાસ પર ભોલેશ્વર ચાર રસ્તા આસપાસ ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં રહેતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને રાત્રિના સમયે આટલો વિસ્તાર પસાર કરવો ભારે જોખમી બની રહે છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વાહનચાલકોને રાહદારીઓ દેખાતા નથી. જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. બીજી સમસ્યા એ કે ભોલેશ્વર ચાર રસ્તા પર વાહનોની ગતિ મર્યાદિત સીમીત રાખવા માટે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ પણ લાંબા સમયથી પડતર છે. અંધારપટ થતાં એકત્ર થયેલ સ્થાનિક રહીશ કિરણભાઈ તથા વિપુલભાઈ પટેલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે રજૂઆતો કરી કરીને થાકી ગયા છીએ, તંત્રના પેટનું પાણી હલતું નથી. તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં નહીં આવે અને સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ નહીં થાય,તો ભોલેશ્વર ગ્રામજનો અને આજુબાજુની સોસાયટીના રહીશો ચક્કાજામ કરશું.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:00 am

ખેડૂતોને મહેસાણાના ધક્કામાંથી મુક્તિ:ખેરાલુ, વડનગર અને સતલાસણામાં હવે જમીન દફતરની કચેરીઓ શરૂ થશે

રાજ્ય સરકારના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક દ્વારા જમીન દફતર ખાતાની કામગીરીના ભારણને હળવું કરવા અને વહીવટને સરળ કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ખેરાલુ પ્રાંત હેઠળના ત્રણ તાલુકાઓ ખેરાલુ, વડનગર અને સતલાસણા માં જમીન દફતરની નવી કચેરીઓ ટૂંક સમયમાં કાર્યરત થશે, જેના કારણે હજારો ખેડૂતે હવે સામાન્ય કામ માટે મહેસાણા સુધીના ધક્કા ખાવા પડશે નહીં. મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી બાદ જિલ્લા કક્ષાની વર્ગ-2ની કચેરીઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરાશે. જમીન દફતર વિભાગમાં કામગીરીનું ભારણ વધતા અને અરજદારોની મુશ્કેલી દૂર કરવા મુખ્યમંત્રી દ્વારા આ વિકેન્દ્રીકરણની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હાલમાં ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકા મથકોએ આ કચેરીનો સ્ટાફ બેસાડવા માટે યોગ્ય સરકારી જગ્યા શોધવાની કામગીરી ચાલી રહી છે. જગ્યાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ સ્ટાફની ફાળવણી સાથે પરિપત્રની સંપૂર્ણ અમલવારી કરાશે. અત્યાર સુધી ખેરાલુ, વડનગર અને સતલાસણા પંથકના અરજદારોએ જમીન માપણી, હક્કચોકસી કે સિટી સર્વેને લગતા ટેકનિકલ પ્રશ્નો માટે મહેસાણા જિલ્લા કચેરીએ જવું પડતું હતું. હવે તાલુકા સ્તરે જ અધિકારી અને પૂરતો સ્ટાફ ઉપલબ્ધ થશે

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:00 am

દૂષિત પાણીથી લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું:પાલનપુર સાતસંચા વિસ્તારમાં દૂષિત પાણીથી લોકોને પેટમાં દુખાવાની રાવ

પાલનપુર સાતસંચા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ધરોઇનું દુષિત પાણી આવતુ હતુ. મંગળવારે પાણીમાં તેની અસર જોવા મળી હતી. દરમિયાન તેના ઉપયોગથી 500 જેટલા ઘરોમાં રહેતા લોકોને પેટમાં દુ:ખાવાની ફરિયાદો ઉઠી છે. સાતસંચા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીમાં કચરો, માટી આવી રહી છે. આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ કે, ધરોઇ જુથ યોજનાનું સવારે 1 કલાક પાણી આપવામાં આવે છે. જોકે, છેલ્લા ચાર દિવસથી પાણીમાં રેતી સહિતનો કચરા સાથે ડહોળું પાણી આવી રહ્યું છે. આ અંગે નગરપાલિકામાં જાણ કરી હતી. આજે મંગળવારે પણ પાણીમાં માટી આવી હતી. આ પાણીને ગાળીને પી રહ્યા છીએ. પરંતુ પેટમાં દુ:ખાવો થાય છે. આ અંગે પાલિકા પાણી પુરવઠાના કર્મચારી ગિરીશભાઇએ જણાવ્યું હતુ કે, સાતસંચા વિસ્તારમાં ધરોઇ જુથ યોજનાની પીવાની પાઇપલાઇન લીકેજ થઇ હતી. જેમાં રેતી ભળતી હોવાથી આ સમસ્યા સર્જાઇ હતી. જોકે, લીકેજ પાઇપલાઇનનું સમારકામ કરી દેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:ધરોઇનું પાણી ત્રણ દિવસ બંધ રહેશે,પાલનપુરવાસીઓને‎50 બોરમાંથી રાઉન્ડ ધ કલોક ટેન્કર દ્વારા પાણી પહોંચાડાશે

ધરોઇ ડેમ આધારિત પાલનપુર ‎‎જૂથ યોજનાની મુખ્ય ‎‎પાઇપલાઇનનું શિફ્ટિંગ કામ‎હાથ ધરાતા આજથી ત્રણ‎દિવસ શુક્રવાર સુધી પાલનપુર ‎‎શહેરને ધરોઇનું પાણી મળવાનું‎બંધ રહેશે. જોકે નગરપાલિકા‎દ્વારા સંપમાં પાણીનો સંગ્રહ‎કરવામાં આવ્યો હોઇ બે દિવસ‎દરમિયાન શહેરીજનોને‎કરકસરયુકત પાણીનો ઉપયોગ‎કરવાની અપીલ કરવામાં આવી‎છે. ત્રીજા દિવસે શુક્રવારે‎પાણીની અસર વર્તાશે જેના‎માટે પાલિકા દ્વારા આગોતરૂ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎આયોજન કરાયું છે.‎ પાલનપુરને સાંકળતી ધરોઇ‎જુથ યોજનાની મુખ્ય‎પાઇપલાઇનનું ગુજરાત પાણી‎પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ‎દ્વારા રેલ્વે ક્રોસિંગને કારણે 914‎એમ.એમ. વ્યાસની પાઇપ‎લાઇનનું શિફ્ટિંગ કરવાની‎કામગીરી હાથ ધરવામાં આવી‎છે. જેના કારણે આજે તારીખ 7‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎જાન્યુઆરી બુધવારથી તારીખ‎9 જાન્યુઆરી શુક્રવાર સુધી‎પાણી પુરવઠો બંધ રાખવાનો‎નિર્ણય લેવામાં આવ્યો‎છે.પાલનપુર શહેરમાં મોટા‎ભાગે ધરોઇ ડેમ પર આધારિત‎પાણી પુરવઠો આપવામાં આવે‎છે. ત્રણ દિવસ સુધી પાણી બંધ‎રહેતા ઘરેલુ તેમજ વ્યાવસાયિક‎ઉપયોગ માટે નાગરિકોને‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎મુશ્કેલી ન પડે તે માટે પાલિકા‎દ્વારા આગોતરૂ આયોજન કરાયું‎છે. આ અંગે નગરપાલિકા‎પાણી પુરવઠા ચેરમેન આશિષ‎પઢિયારે જણાવ્યું હતુ કે,‎શરૂઆતના બે દિવસમાં મોટા‎ભાગના વિસ્તારોમાં સંપમાં‎સંગ્રહિત કરેલું પાણી આપવામાં‎આવશે. જોકે ત્રીજા દિવસે‎પાણીની અછત સર્જાવાની‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎શક્યતાઓ છે. જેના માટે‎પાલિકા દ્વારા આગોતરૂ‎આયોજન કરવામાં આવ્યું છે.‎પાલિકાના હેલ્પ લાઇન નંબર‎02742 - 252031 ઉપર કોલ‎કરવાથી ટેન્કર મળી‎રહેશે.જાહેર જનતાને અપીલ‎કરવામાં આવે છે કે, આ ત્રણ‎દિવસ દરમિયાન પાણીનો‎કરકસરપૂર્વક ઉપયોગ કરે.‎ જરૂરિયાતવાળા વિસ્તારોને પ્રાથમિકતા‎પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 50 બોરવેલમાંથી પાણી‎અપાશે. આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક ટેન્કર સેવા શરૂ કરવામાં આવશે.‎જરૂરિયાત મુજબ ટેન્કરો મોકલીને પાણી પહોંચાડવાની વ્યવસ્થા‎ગોઠવવામાં આવી છે. ખાસ કરીને હોસ્પિટલ, શાળાઓ, વૃદ્ધાશ્રમ તેમજ‎પાણીની વધુ જરૂરિયાત ધરાવતા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવશે.‎

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:00 am

રજૂઆત:જિલ્લામાં એસઆઇઆર અંતર્ગત આવેલ નોટિસમાં આધારકાર્ડ પુરાવારૂપ ગણાવો

ચૂંટણી પંચ દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે. અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વિચરતિ અને વિમુક્ત જાતિના પરિવારો પર ચૂંટણી કાર્ડ રદ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ મામલે વિચરતા સમુદાય સમર્થન મંચના જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં 2002ની મતદાર યાદીમાં લોકોના નામ નથી જેથી આ પરિવારોને નોટિસ આપવામાં આવી છે. આ સમુદાયોના લોકો સરકારી દસ્તાજો મેળવવા કેવી મુશ્કેલી અનુભવે છે એ અમે ખૂબ જ નજીકથી જોયું છે. વળી ભારતના નિર્વાચન આયોગ નવી દિલ્હી દ્વારા વખતો વખત સૂચનાઓ પણ આપવામાં આવી છે. જે નોટિસો આપી છે તેમાં દસ્તાવેજો પૂરા પાડવા માટે અલગ અલગ પ્રકારના દસ્તાવેજોની યાદી આપવામાં આવી છે. પણ વિચરતિ અને વિમુક્ત જાતિઓ પાસે આ ડોક્યુમેન્ટ મળવા ખૂબ જ મુશ્કેલ છે. તેથી જે લોકોને નોટિસ આવી છે આવા પરિવારને આધારકાર્ડ પુરાવા રૂપ ગણવા માંગ કરી છે. વિચરતા પરિવારોને સરકારી દસ્તાવેજ મેળવવામાં મુશ્કેલી થાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં વિમુક્ત જાતિઓના ઘણા બધા પરિવારો રહે છે. આ પરિવારો પાસે ચૂંટણીકાર્ડ છે પરંતુ 2002ની મતદાર યાદીમાં લોકોના નામ નથી. જેથી આ પરિવારોને નોટિસ આપવામાં આવી છે. આ લોકોના ચૂંટણી કાર્ડ રદ થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ સમુદાયોના લોકો એક સ્થળે ન રહેતા સરકારી દસ્તાજો મેળવવા કેવી મુશ્કેલી અનુભવે છે. > હર્ષદ કે. વ્યાસ

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 4:00 am

ગાંઠની સર્જરી દરમિયાન કિશોરીના પેટમાં કપડું રહી ગયું:બીજીવાર સર્જરી કરી કપડું દૂર કરાયું પણ જીવ ન બચી શક્યો, વડોદરાના તબીબની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરીના પેટમાં ગાંઠ હોવાથી તેની સોમા તળાવ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બે મહિના અગાઉ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ પણ બાળકીના પેટમાં અસહ્ય દુઃખાવો રહેતા અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયાનું માલૂમ પડ્યું હતું. જે સર્જરી કરી બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ, કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. પેટમાંથી કોટનનું કપડું નીકળ્યા બાદ કિશોરીનું સારવાર દરમિયાન મોતવડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી પાર્થભૂમિ સોસાયટી વિભાગ એકમાં રહેતા પરિવારની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. દિવાળી અગાઉ પેટમાં ગાંઠ હોવાથી કિશોરીનું સોમા તળાવ હર્ષલ હોસ્પિટલમાં સર્જરી કરી ગાંઠ બહાર કાઢી હતી. દરમિયાન તબીબને ભૂલથી પેટમાં કોટનનું કપડું રહી જતા એક અઠવાડિયા પછી બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. બાદમાં પરિવારે બાળકીને મકરપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તબીબે આ બાળકીના ઓપરેશન બાદ પણ પેટમાં દુખતા સોનોગ્રાફી કરાવી હતી. જેમાં બાળકીના પેટમાં સર્જરી દરમ્યાન એક કોટનનું કપડું રહી ગયું હતું. આ અંગે અગાઉના ડોક્ટર દ્વારા ભૂલ થયાની સ્વીકારી રૂપિયા 1.70 લાખ ચૂકવી ફરી સર્જરી બાદ પણ બાળકીની સ્થિતમાં સુધારો ન આવતા આજે તેનું મોત થયું હતું. હર્ષ હોસ્પિટલના તબીબ સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજીઆ મામલે હાલમાં કપુરાઈ પોલીસ મથકમાં હર્ષલ હોસ્પિટલ ના તબીબ સામે અરજી આપવામાં આવી છે. જેમાં ડો વિજયસિંહ રાજપૂતની બેદરકારી સામે ફરિયાદ દાખલ કરવા પરિવારે માંગ કરી છે. આ બનાવમાં બાળકીના મૃતદેહનું પેનલ પી એમ કરવામાં આવ્યું છે. મકરપુરા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બેદરકારી દાખવનાર તબીબ ફરાર હોવાની વિગતો સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 12:05 am

અમરેલીની 'શીતલ'ની નામ જેવી ઠંડકવાળી કરોડોની કમાણી:પાનની દુકાનથી શરૂ થઈ ને આજે 15 દેશમાં પગ પ્રસાર્યા, દૂધ-આઈસ્ક્રીમ સહિતની 900 પ્રોડક્ટ, ટીમમાં 70% મહિલાકર્મી

2026નો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)યોજાવાની છે. જે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો માટે વૈશ્વિક મંચ પૂરો પાડશે. આ કોન્ફરન્સમાં અમરેલીની 'શીતલ કૂલ પ્રોડક્ટ્સ'ની સાફલ્યગાથા 'લોકલ ટુ ગ્લોબલ' વિકાસ મોડેલના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરાશે. એક સામાન્ય પાનની દુકાનથી શરૂ થયેલો આ વ્યવસાય આજે અમેરિકા સહિત વિશ્વના 15થી વધુ દેશોમાં વિસ્તર્યો છે. વાર્ષિક ₹300 કરોડનું ટર્નઓવર ધરાવે છે અને 900 જેટલી વિવિધ પ્રોડક્ટ બનાવી રહી છે. એટલું જ નહીં, શીતલની વર્ક ફોર્સમાં 70 ટકા મહિલા કર્મચારીઓ છે. અમરેલીમાં એક હજાર પરિવારને કોઈને કોઈ રીતે રોજગારી પૂરી પાડે છે. પેકેજિંગથી લઈ સુપરવાઇઝર સુધી મહિલાકર્મીશીતલમાં સ્પાઇસીસ વિભાગના હેડ રવિના સોજિત્રાએ જણાવ્યું હતું કે, શીતલમાં હું આઠ વર્ષથી જોડાયેલી છું. અહીંયા પેકેજિંગથી લઈ અને સુપરવાઇઝર તેમજ હેડ સુધીની જવાબદારી મહિલાઓને આપવામાં આવે છે. મહિલાઓને સારું વેતન પણ મળે છે અને તેમના માટે રોજગારીનું સર્જન થાય છે. આવી સફળ સ્થાનિક ઉદ્યોગગાથાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું કાર્ય વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરે છે, જેનાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ ક્ષેત્રના વિકાસને નવી દિશા અને નવી ઊંચાઈ મળશે. શીતલની સફળતા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂપત ભૂવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા VGRC જેવા મંચો થકી ઉદ્યોગોનો ઝડપી વિકાસ અને રોજગારી સર્જનનો હેતુ સફળ થઈ રહ્યો છે. શીતલે એક નાની પાન શોપથી શરૂ થઈને BSE અને NSE લિસ્ટેડ કંપની સુધીની સફળતા મેળવી છે. 'લોકલ ટુ ગ્લોબલ' વિચારધારાને વ્યવહારમાં ઉતારીને આજે અમેરિકા, જાપાન, કોંગો સહિત 15થી વધુ દેશોમાં પ્રોડક્ટ્સ નિકાસ થાય છે. આગામી સમયમાં અમરેલીમાં રેડી ટુ ઈટ પ્રોડક્ટનું નવું યુનિટ શરૂ કરવામાં આવશે, જેનાથી 100થી વધુ લોકોને નવી રોજગારી મળશે. રોજગારી, ઉદ્યોગ વિકાસ અને નિકાસક્ષમ ઉત્પાદનના માધ્યમથી શીતલ કૂલ પ્રોડક્ટ્સ અમરેલી જિલ્લાની ગૌરવગાથા બની છે. વૈશ્વિક તકોના દ્વાર ખુલશેવડાપ્રધાન દ્વારા ખુલ્લી મૂકાનારી આ પ્રથમ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે આંતરરાષ્ટ્રીય બજારના દ્વાર ખોલશે. શીતલ કૂલ પ્રોડક્ટ્સ હાલમાં દૂધ, દૂધજન્ય બનાવટો, સ્નેક્સ અને રેડી-ટુ-ઈટ જેવી 900થી વધુ વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીનું વેચાણ નેટવર્ક ભારતના 10થી વધુ રાજ્યો અને અમેરિકા, જાપાન તથા કોંગો સહિતના 15થી વધુ દેશોમાં ફેલાયેલું છે. રોજગારી અને મહિલા સશક્તિકરણઆ ઉદ્યોગ અમરેલી જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યો છે. કંપની દ્વારા સ્થાનિક સ્તરે 1,000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓની નિમણૂક કરવામાં આવતા મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. પેકેજિંગથી લઈ સુપરવાઈઝર અને વિભાગીય હેડ સુધીની જવાબદારીઓ મહિલાઓ સંભાળી રહી છે. નવો પ્લાન્ટ શરૂ કરશેકંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂપત ભૂવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના VGRC જેવા મંચ ઉદ્યોગોના ઝડપી વિકાસ માટે અસરકારક સાબિત થઈ રહ્યા છે. પાન શોપથી શરૂ કરીને BSE અને NSE લિસ્ટેડ કંપની સુધીની મજલ અમે કાપી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં અમરેલીમાં રેડી-ટુ-ઈટ પ્રોડક્ટનો નવો પ્લાન્ટ શરૂ કરાશે, જેનાથી વધુ 100 લોકોને રોજગારી મળશે. કંપનીનો ઇતિહાસ અને વિરાસતકંપનીના સ્થાપક સ્વ. જગદીશભાઈ ભુવાએ 32 વર્ષ પહેલાં જે સ્વાદનું સપનું જોયું હતું, તે આજે એક વટવૃક્ષ બની ગયું છે. પરંપરાગત રેસિપી અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી શીતલ કૂલ આજે દરેક ઘરમાં જાણીતું નામ બન્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 12:05 am

વિદેશી પંતગોના રંગથી રંગાશે સુરતનું આકાશ:10 જાન્યુ.એ અડાજણ રિવરફ્રન્ડ પર ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવ, 5 દેશ સહિત ભારતભરના 94 પતંગબાજો ભાગ લેશે

સુરત શહેરની પતંગપ્રિય જનતા માટે રાજ્ય પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી 10મી જાન્યુઆરીના રોજ પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અડાજણ વિસ્તારમાં આવેલ રિવરફ્રન્ટ બાજુના પ્લોટ (જૂના અડાજણ રોડ) ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. વહીવટી તંત્રની તડામાર તૈયારીઓઆ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં તેમણે દરેક વિભાગને સોંપાયેલી જવાબદારીઓ જેવી કે સુરક્ષા, વ્યવસ્થાપન અને પ્રોટોકોલ અંગેની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. આ બેઠકમાં નાયબ કલેક્ટર નેહા પટેલ સહિત મનપા અને પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશ-વિદેશના પતંગબાજોનું આકર્ષણ સ્થાનિક રમતવીરો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહમાત્ર વ્યવસાયિક પતંગબાજો જ નહીં, પરંતુ સુરતના સ્થાનિક રમતવીરો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ આ મહોત્સવમાં ખાસ હાજરી આપશે. સુરતીઓને વિશ્વભરની અવનવી અને વિશાળ પતંગોના કરતબો જોવાની એક અનોખી તક મળશે.

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 12:05 am

હિજાબમાં લગાવવાની પીન ગળી જતા કિશોરીનો જીવ જોખમાયો:SSGમાં બ્રોન્કોસ્કોપીની મદદથી 4 mmની પીન 45 મિનિટમાં કાઢી લેવાઈ, નાના બાળકોના માતાપિતાને તબીબે ચેતવ્યા

વડોદરાની સયાજી હોસ્પિટલમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઇથી સંબંધીઓને મળવા આવેલી 15 વર્ષીય કિશોરીએ હિજાબમાં લગાવવાની 4 mmની તિક્ષ્ણ પિન ગળી ગઈ હતી અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે, સમયસર હોસ્પિટલ પહોંચવાથી બ્રોન્કોસ્કોપી સર્જરી દ્વારા પિન કાઢી નાખતા બાળકીનો જીવ બચ્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ કિશોરીના ગળામાંથી પિન બહાર કાઢવામાં આવી હતી. હિજાબમાં પિન લગાવવા જતા અચાનક ગળામાં ઉતરી ગઈસયાજી હોસ્પિટલના ઇએનટી વિભાગના સહ પ્રાધ્યાપક ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ બાળકી મુંબઇથી વડોદરામાં સંબંધીઓને મળવા આવી હતી. અહીં હિજાબમાં પિન લગાવતી વખતે તેણે પિન મોઢામાં રાખી હતી. અચાનક બોલવા જતા પિન ગળામાં ઉતરી ગઈ હતી અને ફેફસામાં અટવાઈ જતા તીવ્ર ખાંસી શરૂ થઈ હતી. એક કલાકની ભારે જહેમત બાદ પિન બહાર કઢાઈજોકે, ઘટના બન્યાના માત્ર બે-ત્રણ કલાકમાં જ કિશોરી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. તપાસ બાદ એક્સ-રેમાં જાણવા મળ્યું કે, પિન શ્વાસનળીમાં વિભાજનના ભાગે ડાબી તરફના નીચેના ફેફસામાં અટવાઈ ગઈ હતી. તાત્કાલિક એનેસ્થેશિયા નિષ્ણાંતની મદદથી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને બ્રોન્કોસ્કોપી દ્વારા લગભગ 45 મિનિટથી એક કલાકની પ્રક્રિયામાં કોઈ ચીરો પાડ્યા વગર પિન કાઢી લેવામાં આવી હતી. 'કિશોરીના જીવને જોખમમાંથી બહાર લાવ્યા છીએ'વધુમાં જણાવ્યું હતું કે, શાર્પ વસ્તુઓ જેમ કે સેફ્ટી પિન ઘણી વખત ફેફસા તેમજ હૃદયમાં ઈજા પહોંચાડી શકે છે. સમયસર હોસ્પિટલ આવવાથી આ સફળતા પૂર્વક સર્જરી કરી બહાર કાઢી કિશોરીના જીવને જોખમમાંથી બહાર લાવ્યા છીએ. બાદમાં બે દિવસના એન્ટિબાયોટિક ઇન્જેક્શન અને પોસ્ટ-ઓપરેટિવ ચેસ્ટ એક્સ-રે કર્યા બાદ કિશોરીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરી રજા આપવામાં આવી છે. 'એક સાઈડનું ફેફસું પૂરેપુરું બંધ થઈ જવાનું જોખમ'અગાઉના બનાવો અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને ત્રણથી પાંચ વર્ષના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળી વચ્ચેનું સંકલન પૂર્ણ વિકસિત ન હોવાથી ખાતા સમયે આમલીના બીજ, સીતાફળના બીજ કે ચણાના દાણા જેવી વસ્તુઓ શ્વાસનળીમાં જતી રહે છે. નાના બાળકોની શ્વાસનળી અત્યંત સાંકડી હોવાથી આવી વસ્તુઓથી એક ફેફસુ પૂરેપુરું બંધ થઈ જવાનું જોખમ રહે છે. આ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લોતેમણે માતા-પિતાને અપીલ કરતા કહ્યું હતું કે, નાના બાળકોને ખવડાવતી વખતે ખાસ સાવધાની રાખો. જો બાળકને લાંબા સમયથી ખાંસી આવતી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે ચહેરો ભૂરો પડી જતો હોય તો તાત્કાલિક બાળરોગ નિષ્ણાંત, ઇએનટી ડોક્ટર કે નજીકના જનરલ પ્રેક્ટિશનરને બતાવવું. શાર્પ કે નાની વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવીતેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પિન, સિક્કા, બટન સેલ (બેટરી) જેવી શાર્પ કે નાની વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઇએ. કારણ કે, શ્વાસનળીમાં ફસાવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે. સયાજી હોસ્પિટલમાં આવી જટિલ બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે અને અહીં આ પ્રક્રિયા મફતમાં કરવામાં આવી હતી. જે બહારની ખાનગી હોસ્પિટલમાં 60થી 70 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. 27 નવેમ્બર: અમદાવાદ સિવિલના ડોક્ટરોએ 5 માસના બાળકની અન્નનળીમાંથી બટન સેલ કાઢ્યો અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પાંચ મહિનાના અયાનનું જીવન બચાવ્યું હતું. રમતાં રમતાં અયાન ભૂલથી બટન સેલ ગળી ગયો હતો. આ સેલ અન્નનળીમાં ફસાઈ જતાં તેની તબિયત બગડી રહી હતી. તે સતત ઉધરસ ખાતો રહેતો હોવાથી માતા-પિતાએ ખાનગી હોસ્પિટલમાં તેનો એક્સ-રે કરાવ્યો હતો. એક્સ-રેમાં અન્નનળીમાં કંઈક ગોળ વસ્તુ ફસાઈ હોવાનું દેખાતાં તેમને યાદ આવ્યું કે બાળક બટન સેલથી રમતો હતો. તેઓ તરત જ બાળકને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યાં હતા. સિવિલ હોસ્પિટલમાં ENT અને બાળરોગના સર્જનોએ તરત જ ટીમ બનાવી. ડૉ.રાકેશ જોષી અને ડૉ. નિરખી શાહની ટીમે તાત્કાલિક એન્ડોસ્કોપી કરીને બટન સેલને ધ્યાનપૂર્વક બહાર કાઢ્યો. બેટરીના કેમિકલને કારણે અન્નનળીમાં ઘા પડી ગયા હતા, પરંતુ સમયસર સારવાર મળવાથી કેસ ગંભીર થતાં અટક્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…

દિવ્ય ભાસ્કર 7 Jan 2026 12:05 am

ભેખડીયામાં ₹2.87 કરોડનો વિદેશી દારૂ નાશ કરાયો:શહેરા-મોરવા હડફ પોલીસ સ્ટેશનનો જથ્થો રોલર ફેરવી નષ્ટ

ગોધરાના ભેખડીયા ખાતે સરકારી પડતર જમીનમાં શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા ₹2.87 કરોડના વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થો વર્ષ 2024-25 દરમિયાન પકડાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં કુલ 1,60,841 દારૂ અને બીયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં જેસીબી અને રોલર ફેરવીને દારૂના જથ્થાનો નિકાલ કરાયો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની સૂચના અનુસાર, નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દા જાડેજા, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને નશાબંધી અધિકારી એ.એન. પરમાર સહિતની કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી ભારે મશીનરી ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 11:00 pm

કલોલના ગોલથરા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલનું ઓપરેશન:કારને આંતરી 7 કિલો ગાંજા સાથે કિશોર સહિત ચારને ઝડપ્યા, 11.62 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીનગરના કલોલ તાલુકામાં મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે ગોલથરા ગામ પાસે વોચ ગોઠવીને પોલીસે એક કારને આંતરી હતી, જેમાંથી 7 કિલો 450 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે એક કિશોર સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ગાંજો મોકલનાર અને મંગાવનાર મુખ્ય સૂત્રધારોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ કાર અટકાવીસ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જ્યારે ગાંધીનગરના કલોલ તાલુકામાં ​પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં માદક પદાર્થોનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે પોલીસે ગોલથરા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કાર આવતા તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસને કારમાંથી 7.450 કિલો ગાંજો મળ્યોકારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે તેમાં વ્યવસ્થિત રીતે છુપાવેલો 7.450 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કાર, ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ 11.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ​આ ગુનામાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમના નામ નિસર્ગ કાંતિભાઈ માળી (રહે. અડાલજ), મોહસીન ફરીદમિયાં શેખ (રહે. ગાંધીનગર) અને કૌશિક રમણભાઈ ઠાકોર (રહે. અડાલજ) હોવાનું સામે આવ્યું છે, જેમની સાથે એક કિશોર પણ સામેલ હતો. પોલીસે ચારે શખ્સો વિરૂદ્ધ NDPS હેઠળ ગુનો નોંધ્યોપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલા પદાર્થનો જથ્થો મહેસાણાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામના બકાભાઇ ઉર્ફે બટુક ડાભીએ મોકલાવ્યો હતો, જે કલોલના ખોરજ ગામે રહેતા સબ્બીરખાન દિલાવરખાન પઠાણને પહોંચાડવાનો હતો. ​પોલીસે હાલમાં પકડાયેલા ચારેય શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ફરાર થઈ ગયેલા બકાભાઇ અને સબ્બીરખાનની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 10:59 pm

અમદાવાદના આંગણે યોજાશે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2026:13મી જાન્યુઆરીના ગોતાના શંકુસ ફાર્મમાં અભિનેત્રી રાની મુખર્જી સહિત કલાકારોનો જમાવડો

ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટી દ્વારા આયોજીત ગુજરાતની કલાને ઉજાગર કરતો ગુજરાતની અસ્મિતા સમા 18મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2026નું અમદાવાદના ગોતા સ્થિત શંકુસ ફાર્મ ખાતે તા. 13 જાન્યુઆરીના રોજ સાજે 7 વાગ્યે યોજાશે. છેલ્લાં 17 વર્ષથી સતત આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ વિશ્વભરમાં ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિનું ગૌરવ વધારનાર એવા માનવ ગૌરવને સન્માનિત કરવાનો મંચ પુરો પાડવામાં આવે છે. આ એવોર્ડ દ્વારા કલા, સંસ્કૃત્તિ, સાહિત્ય, ગુજરાતી સિનેમા, રમતગમત, યુવા નેતૃત્વ, સામાજિક સેવા, વ્યવસાય, તથા પરોપકાર જેવા વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર ગૌરવવંતા ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવે છે. ગુજરાતનો આ સૌથી મોટો ઇન્વાઇટી શો માત્ર આમંત્રિતો માટે છે. બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી એવોર્ડમાં હાજરી આપશે18માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી હાજરી આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, યુવા અને સાંસ્કૃત્તિક મંત્રી જયરામભાઇ ગામિત, રિવાબા જાડેજા, શહેરી વિકાસ વિભાગના મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપરાંત અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન તેમ જ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઇ દાણી વગેરેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકોને ગોરવવંતા ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાત સહિત મુંબઇથી કલાકારો ભાગ લેવાના છે. ભૂમિ ત્રિવેદી, બ્રીજરાજ ગઢવી સહિતના કલાકારોનું પર્ફોમન્સઆ કાર્યક્રમમાં અતુલ પુરોહિત, ભૂમિ ત્રિવેદી, કરસન સાગઠિયા, કિર્તી સાગઠીયા, દિવ્યા ચૌધરી, લવારી શોના જાણીતા કલાકારો સાથે યંગ કલાકારો તેમ જ બ્રીજરાજ ગઢવી, આમીર મીર હાજર રહીને તેમના પર્ફોમન્સ દ્વારા સંગીતના સૂર રેલાવશે. આ શોમાં ધમાકેદાર પર્ફોમન્સ 50થી ફોકના ડાન્સરો દિવ્યથી ભવ્ય કાર્યક્રમ કરશે. 40થી 50 ગુજરાતી ફિલ્મ જગતના લોકો હાજરી આપશે. જેમાં હિતુ કનોડિયા, હિતેનકુમાર, મૌલિક ચૌહાણ, ભાવિની જાની વિશેષ ઉપસ્થિત રહેશે. એવોર્ડ સમારોહમાં 5થી 7 હજાર લોકો ઉપસ્થિત રહેશેસતત 17 વર્ષથી ગૌરવવંતા ગુજરાતી એવોર્ડના આયોજક ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટીના ફાઉન્ડર અત્રિસ ત્રિવેદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગુજરાત ગાથાનો મંચ પુરો પાડનાર ઇન્ટરનેશલ ક્રિએટીવ આર્ટ સોસાયટીના બોર્ડ મેમ્બરો પદ્મશ્રી મનોજ જોષી, ટીકુ તલસાણિયા, રેમો ડીસોઝા, હંસલ મહેતા, મિલાપ ઝવેરી, પ્રાંજલ ખાધદીયા, જે.ડી. મજેઠિયા, સુપ્રિયા પાઠક, યોગેશ લાખાણી અને પાર્થિવ પટેલ કમિટી મેમ્બર પણ અચૂક હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રીષ્મા ત્રિવેદી દ્રારા કરવામાં આવશે. નેશનલ એવોર્ડ વિનર પુનલ સોની દ્વારા કરવામાં આવશે. આ એવોર્ડ માત્ર આમંત્રિતો માટે રહેશે. જેમાં 5થી 7 હજાર લોકો ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 10:54 pm

આશુતોષ શાળામાં ત્રિદિવસીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી:300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, ચાર હાઉસ વચ્ચે સ્પર્ધા થઈ

ભાવનગરના ઘોઘારોડ પર આવેલી આશુતોષ પ્રાથમિક શાળામાં ત્રિદિવસીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના આશરે 300 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના ટ્રસ્ટી મનીષાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, આશુતોષ વિદ્યાલયના ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું હતું. આ રમતગમત ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવાનો હતો. આ સ્પોર્ટ્સ ડેમાં વિદ્યાર્થીઓને ચાર હાઉસમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. દરેક હાઉસને એક કેપ્ટન આપવામાં આવ્યો હતો, જેણે પોતાના હાઉસને પ્રોત્સાહિત કરી આગળ વધાર્યું હતું.રેડ હાઉસના કેપ્ટન તરીકે અક્ષય મકવાણા હતા, જેમાં શિક્ષિકા મનીષા સુતરિયા અને પરીતા પટેલનો સમાવેશ થતો હતો. ગ્રીન હાઉસના કેપ્ટન અક્ષિતા કંટારિયા હતા, જેમાં શિક્ષક રૂપા ચુડાસમા અને અલ્પા દિહોરા હતા. યલો હાઉસના કેપ્ટન રાહુલ ગોહેલ હતા, જેમાં શિક્ષિકા નીતા ડાભી અને જાનકી મકવાણા હતા. બ્લુ હાઉસના કેપ્ટન જયદીપ ગોહેલ હતા, જેમાં શિક્ષિકા ફાલ્ગુની મકવાણા અને અલ્પા પાઠક હતા.આ સમગ્ર રમતગમત કાર્યક્રમની રૂપરેખા યશ ચાવડા અને જાનકી મકવાણા સહિત તમામ શિક્ષકગણે તૈયાર કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 10:11 pm

મોડાસામાં જેસીસ મીલ કમિટીની સુવર્ણ જયંતી:સામાજિક-આધ્યાત્મિક જનહિતાર્થે 5 દિવસીય શ્રીકૃષ્ણ કથાનું 8 જાન્યુઆરીથી આયોજન

મોડાસામાં જેસીસ મીલ કમિટી દ્વારા તેની 50 વર્ષની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે પાંચ દિવસીય શ્રીકૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સામાજિક અને આધ્યાત્મિક જનહિતના ઉદ્દેશ્યથી યોજાશે.આ કથા દરમિયાન કૃષ્ણ ભક્ત સંતો જેવા કે મીરાબાઈ, જલારામ બાપા, નરસિંહ મહેતા, વલ્લભ પ્રભુ અને શ્રીમદ પ્રભુપાદની પ્રેરણાદાયી જીવનકથાઓ રજૂ કરવામાં આવશે. કથાના આરંભે અરવલ્લી પંથકના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાશે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરાશે. આ પ્રસંગે મોડાસા અને અરવલ્લી જિલ્લામાં સામાજિક જનહિત માટે નોંધપાત્ર કામગીરી કરનાર સામાજિક કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવશે. વધુમાં, વાલ્મિકી સમાજની દીકરીઓનું પૂજન અને સન્માન કાર્યક્રમ પણ યોજાશે. વ્યાસપીઠ પરથી મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદજી કથાવાચન કરશે. જેસીસ મીલ કમિટીના ચેરમેન નવનીત પરીખ, ટ્રસ્ટી નિલેશ જોશી અને જીવદયા પ્રેમી મુકુંદ શાહ દ્વારા અપાયેલી માહિતી મુજબ, આ કથા 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન દરરોજ બપોરે 1 થી 4 વાગ્યા સુધી જેસીસ હોલ, નગરવાળાના નાકે, મોડાસા ખાતે યોજાશે.જેસીસ મીલ કમિટીની સુવર્ણ જયંતી નિમિત્તે આયોજિત આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને નગરજનો જોડાય તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:46 pm

પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ 831 વડીલોનું સન્માન કરશે:શંખેશ્વરમાં 'આપ્તજન મિલન સમારોહ' અને 'વડીલ વંદના' કાર્યક્રમ યોજાશે

ઉત્તર ગુજરાતના પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા 'આપ્તજન મિલન સમારોહ' અને 'વડીલ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો છે. આ પ્રસંગે સમાજના 831 વડીલોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પાંચેય ગામના પરિષદ સાથે જોડાયેલા સ્વયંસેવકો અને વડીલો એકત્રિત થશે. તેઓ પરસ્પર સંવાદ, ઓળખાણ અને સહકારને પ્રોત્સાહન આપશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વડીલોની વંદના રહેશે, જેમાં પરિષદ દ્વારા વડીલોને સન્માનપૂર્વક આદર આપવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ 10 અને 11 જાન્યુઆરી, 2026ના રોજ શંખેશ્વર ખાતે યોજાશે. આ પ્રસંગે સમાજની એકતા, શિક્ષણ, સામાજિક વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. દરેક ગામમાંથી વડીલોને લાવવા અને લઈ જવા માટે લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સમાજબંધુઓ માટે સહભોજનનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના પ્રસિદ્ધ વક્તા શ્રી સંજય રાવલ 'ઢળતી સાંજનો જીવન બોધ' વિષય પર વક્તવ્ય આપશે. બીજા સેશનમાં 'જીવનના વીતેલા સમયનું સરવૈયું' વિષય આધારિત લોકગીત અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે 'ઋણપ્રદાન' કાર્યક્રમ અંતર્ગત સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા પાંચેય ગામના 831 વડીલોનું શોલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરાશે. આયોજક સમિતિએ સમાજના તમામ સભ્યોને આ કાર્યક્રમમાં હાજર રહી તેને સફળ બનાવવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:45 pm

જામનગરમાં 5 શિક્ષક પરિવારોને ઉચ્ચક નાણાકીય સહાય મંજૂર:ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રયાસોથી દરખાસ્ત મંજૂર

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા પાંચ શિક્ષકોના વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ પાંચ પરિવારોને કુલ 8 લાખ રૂપિયાની સહાયની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારના શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ સાથે લાંબી રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રયાસોના પરિણામે, સરકારે રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 2011 પછી અવસાન પામેલા શિક્ષકોને અનુક્રમે 4 લાખ, 8 લાખ અને 14 લાખની સહાય આપવા બાબતનો ઠરાવ પસાર કર્યો હતો. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 2011 થી આજદિન સુધી અવસાન પામેલા શિક્ષકોના વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં રજૂ કરવામાં આવી હતી. તેમાંથી કુલ પાંચ દરખાસ્તો નવા વર્ષના પ્રથમ દિવસે જ મંજૂર થઈ છે. આ પરિવારોને ટૂંક સમયમાં ગ્રાન્ટ મેળવી સહાય ચૂકવવામાં આવશે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી એચ.કે દેસાઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે, આ પ્રયાસોથી સમગ્ર રાજ્યની કુલ 20 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજિત 162 જેટલા પરિવારોને નજીકના સમયમાં ઉચ્ચક નાણાકીય સહાયનો લાભ મળશે. મંજૂર થયેલી સહાયમાં સ્વ. અરુણભાઈ જોષી (શાળા નંબર 4) ને 8 લાખ, સ્વ. ફ્રેનીબેન પંડ્યા (શાળા નંબર 26) ને 8 લાખ, સ્વ. રસમીબેન ચૌહાણ ને 6 લાખ, સ્વ. રેખાબા રાણા (શાળા નંબર 29) ને 8 લાખ અને સ્વ. મનીષાબેન ટાંક ને 14 લાખની સહાયનો સમાવેશ થાય છે. આ સહાય 15 દિવસમાં ચૂકવવાની પણ સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:44 pm

અમદાવાદમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા રાશન-ધાબળા વિતરણ:જરૂરિયાતમંદ એકલવાયા વડીલોને માસિક સહાય પૂરી પાડી

અમદાવાદમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ એકલવાયા વડીલો સહિત ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને માસિક રાશન અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ શહેરમાં રહેતા અને આર્થિક સંકડામણ અનુભવતા પરિવારો માટે જીવનનો આધાર બની છે. ફાઉન્ડેશન દ્વારા દર મહિને રાશન વિતરણ કરવામાં આવે છે, જે ગરીબ અને વંચિત પરિવારોને નિયમિત ખોરાકની સુરક્ષા પૂરી પાડે છે. આનાથી તેમને રોજિંદા ભોજનની ચિંતામાંથી રાહત મળે છે અને પરિવારના સભ્યોને પૂરતું તથા પોષક આહાર ઉપલબ્ધ થાય છે. વર્તમાન સમયમાં મોંઘવારી અને બેરોજગારીના કારણે ઘણા પરિવારો માટે બે સમયનું ભોજન મેળવવું મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં, માસિક રાશન ઘરખર્ચનો બોજ ઘટાડે છે અને મર્યાદિત આવકને બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભાડા જેવી અન્ય આવશ્યકતાઓ માટે વાપરવાની તક પૂરી પાડે છે. આ સેવાકાર્ય માત્ર ખોરાક પૂરો પાડવા પૂરતું સીમિત નથી, પરંતુ જરૂરિયાતમંદોને આત્મસન્માન સાથે જીવવાની તક પણ આપે છે. નિયમિત સહાય મળવાથી પરિવારોમાં સુરક્ષા અને સ્થિરતાની ભાવના વધે છે, જેનાથી તેઓ સમાજ દ્વારા સમર્થિત હોવાનો અનુભવ કરે છે. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ કાર્ય સામાજિક જવાબદારી, કરુણા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પહેલ સ્વયંસેવકો અને દાતાઓને પણ સમાજસેવામાં જોડાવા પ્રેરિત કરે છે, જે ગરીબી ઘટાડવા અને માનવીય મૂલ્યોને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:41 pm

ઇન્ડસ યુનિવર્સિટીમાં વાર્ષિક ઇન્ડસ કપ 2K26 શરૂ:રાષ્ટ્રીય રમતોત્સવ 5 જાન્યુઆરીથી રાંચરડા કેમ્પસમાં, 10 લાખના ઇનામો

ઇન્ડસ યુનિવર્સિટીના રાંચરડા કેમ્પસ ખાતે 5 જાન્યુઆરી, 2026ના રોજ વાર્ષિક રમતોત્સવ 'ઇન્ડસ કપ 2K26'નો શુભારંભ થયો છે. આ યુનિવર્સિટીની મુખ્ય રમતગમત ઇવેન્ટ છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રમતવીર ભાવના, શિસ્ત, નેતૃત્વ, ટીમવર્ક અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ રાષ્ટ્રીય સ્તરના રમતોત્સવનું ઉદ્ઘાટન પ્રેસિડેન્ટિયલ સેક્રેટરિયટના ડો. નાગેશ ભંડારી અને ડો. રિતુ ભંડારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડસ યુનિવર્સિટીના ટોચના મેનેજમેન્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઇન્ડસ કપ 2K26 માં દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાઓ 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. આ રમતોત્સવમાં ક્રિકેટ, બાસ્કેટબોલ, ફૂટબોલ, પિકલબોલ, પિટ્ટુ, કબડ્ડી, વોલીબોલ, બોક્સ ક્રિકેટ, શોટપુટ, આર્મ રેસલિંગ, લોન ટેનિસ, બેડમિન્ટન, ટગ ઓફ વોર, ટેબલ ટેનિસ અને ચેસ જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. વિજેતા ખેલાડીઓને કુલ 10 લાખ રૂપિયા સુધીના રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે. ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય રમતોત્સવ વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ, રમતગમત પ્રત્યે ઉત્સાહ અને સૌહાર્દપૂર્ણ સ્પર્ધાની ભાવનાને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:39 pm

કવાંટમાં ભાજપના નવા પદાધિકારીઓનો સન્માન સમારોહ:8 જાન્યુઆરીએ કાર્યક્રમ, જિલ્લા પ્રમુખ-ધારાસભ્યોએ તૈયારીઓની સમીક્ષા કરી

કવાંટમાં 8 જાન્યુઆરી, 2026ના રોજ ભાજપ પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાશે. આ કાર્યક્રમ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના નવા માળખાની રચના કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના આદિવાસી નેતા ગણપત વસાવાની પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે અને છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઈ છે. પ્રદેશ સંગઠનમાં નિયુક્તિ પામેલા આ આદિવાસી હોદ્દેદારોના સન્માન અને અભિવાદન માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કવાંટ ગાયત્રી મંદિર સામેના મેદાનમાં આ સમારોહનું આયોજન કરાયું છે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યના અન્ય આદિજાતિ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. સન્માન સમારોહ માટે વિશાળ ડોમ અને મંચ બનાવવા સહિતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી અને પાવી જેતપુરના ધારાસભ્ય જયંતી રાઠવા સહિતના નેતાઓ અને આગેવાનોએ કવાંટ પહોંચીને તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:38 pm

વિસલપુર હાઈસ્કૂલમાં વાર્ષિકોત્સવ 2026 ની ઉજવણી:ધારાસભ્ય બાબુ પટેલ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ રહ્યા ઉપસ્થિત

વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં વાર્ષિકોત્સવ 2026 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને ખેડા મત વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. વાર્ષિકોત્સવનો પ્રારંભ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દિલીપસિંહ ચૌહાણે મહેમાનોનો શાબ્દિક પરિચય આપ્યો હતો. મંડળના પ્રમુખ ધીરેશભાઈ શાહે ધારાસભ્ય બાબુભાઈ પટેલનું બુકે અને શાલથી સન્માન કર્યું હતું. કારોબારી ટ્રસ્ટી મફતભાઈ પટેલે સાંસદ દેવુસિંહ ચૌહાણનું સન્માન કર્યું, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના E.I. નવલસિંહ ગોહિલનું સન્માન આચાર્ય દિલીપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન બાબુભાઈ પટેલે શાળાને દસક્રોઈની શ્રેષ્ઠ શાળા ગણાવી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણે મંડળના પ્રમુખ ધીરેશભાઈ શાહ, તેમના પરિવારના સભ્યો અને ટ્રસ્ટીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા, જેમણે આર્થિક અને અન્ય સહયોગથી શાળાને આ સ્તરે પહોંચાડી છે. ત્યારબાદ વાર્ષિકોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં કે.જી.થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ પોતાની કૌશલ્યની અભિવ્યક્તિ કરી હતી. બાળકો દ્વારા માઈમ, ગરબા, નૃત્ય વગેરે જેવી રંગારંગ રજૂઆતો કરીને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. આ વાર્ષિકોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગીતાબેન પટેલ અને હિરલબેન ચતુર્વેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી મનીષા શુક્લ દ્વારા કરવામાં આવી હતી. ડાયરેક્ટર રમેશભાઈ પટેલના સતત માર્ગદર્શન અને શિક્ષકોના અથાક પ્રયત્નોથી વાર્ષિકોત્સવ 2026 અત્યંત સફળ રહ્યો.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:38 pm

લંડનમાં ગૂંજ્યું ગુજરાતીનું નામ:મેટ્રોપોલિટન પોલીસમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા કાંતિ પિંડોરિયાનું વિશેષ સન્માન

વિદેશની ધરતી પર ગુજરાતીઓ માત્ર વેપાર-ધંધામાં જ નહીં પરંતુ સેવા અને સુરક્ષાના ક્ષેત્રમાં પણ પોતાનું નામ રોશન કરી રહ્યાં છે. આવું જ એક ગૌરવવંતું નામ છે કાંતિ પિંડોરિયા. ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ (MPS) માં વિવિધ ભૂમિકાઓ ભજવતા કાંતિ પિંડોરિયાને તાજેતરમાં જ મહારાજા ચાર્લ્સ ત્રીજાની નવા વર્ષ સન્માનની યાદી 2025માં સ્થાન મળ્યું છે. આ પ્રતિષ્ઠિત સન્માન તેમના અડગ જાહેર સેવા ભાવ, સમુદાયની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા અને કરુણાભર્યા પોલીસિંગના મૂલ્યોનું પ્રતિબિંબ છે. તેમની સેવા દરમિયાન પી.સી. પિંડોરિયાએ અસાધારણ વ્યાવસાયિકતા, ઇમાનદારી અને સમુદાયના કલ્યાણ માટેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવી છે. રહેવાસીઓ સાથે વિશ્વાસ બાંધવાની તેમની ક્ષમતા, સહાનુભૂતિપૂર્વક પ્રતિસાદ આપવાની તેમની રીત અને લોકો સાથે જોડાવાની તેમની કુશળતા સમુદાય પર લાંબા ગાળાનો સકારાત્મક પ્રભાવ મૂકે છે. એક વ્યક્તિ, ચાર જવાબદારીકાંતિ પિંડોરિયા મેટ્રોપોલિટન પોલીસમાં એકસાથે ચાર મહત્વની ભૂમિકાઓ નિભાવી રહ્યા છે તેઓ મેટ્રોપોલિટન પોલીસ હિન્દુ એસોસિએશનના અધ્યક્ષ છે. પોલીસ સ્ટાફ છે, સ્પેશિયલ કોન્સ્ટેબલ પણ છે અને વોલેન્ટિયર પોલીસ કેડેટ લીડર પણ છે. વિશેષ વાત એ છે કે આ ભૂમિકાઓ તેઓ કોઇ પણ જાતના સ્વાર્થ વગર સ્વૈચ્છિક રીતે નિભાવી રહ્યા છે. તેમની પાસે કોઇ સત્તાવાર ઊંચો રેન્ક નથી પરંતુ તેઓ જણાવે છે કે તેમની દૈનિક કામગીરી એક ઇન્સ્પેક્ટર રેન્કની સમકક્ષ હોય છે. સમાજ અને પોલીસ વચ્ચે સેતુ બનવાનું કાર્યપોતાના કાર્ય વિશે વાત કરતા કાંતિ પિંડોરિયાએ જણાવ્યું હતું કે, મારું મુખ્ય લક્ષ્ય પોલીસ (MPS) અને સમાજ વચ્ચેના અંતરને દૂર કરવાનું છે. જ્યારે લોકો આપણા જેવી જ સંસ્કૃતિના વ્યક્તિને પોલીસમાં જુએ છે, ત્યારે તેમનો વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધે છે. હું ઈચ્છું છું કે આપણા સમાજના વધુમાં વધુ લોકો પોલીસ ફોર્સમાં જોડાય. સામાજિક સેવામાં પણ અગ્રેસરમાત્ર પોલીસિંગ જ નહીં, કાંતિભાઈ સામાજિક સેવામાં પણ અગ્રેસર છે. તેઓ વિલ્સડેન સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની ચેરિટી શાખા Helping Handsના લીડર છે. તેઓ દર અઠવાડિયે ફૂડ બેન્ક ચલાવે છે. જેના દ્વારા અંદાજે 120 પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવે છે. તેઓ સ્વામિનારાયણ મંદિર (કેન્ટન)ની શાખા 'સદાવ્રત'સાથે મળીને દર મહિને લંડનમાં નિરાધાર લોકો માટે અભિયાન ચલાવે છે. આ અભિયાન હેઠળ જરૂરિયાતમંદોને ધાબળા, કપડાં, ખોરાક, ગરમ પીણાં અને ટોયલેટરીઝ જેવી જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. પોતાની આ સિદ્ધિ અને સન્માન બદલ તેઓ નમ્રતાપૂર્વક જણાવે છે કે, આ બધું એક ટીમ વર્કનું પરિણામ છે. તેમના પરિવાર, મિત્રો, સહકર્મીઓ અને સ્વયંસેવકો જેઓ પોતાનો કિંમતી સમય આપીને સમાજ સેવામાં જોડાય છે, તેમના વગર આ સફળતા શક્ય નહોતી. બ્રિટિશ પોલીસ દળમાં એક ગુજરાતી તરીકે કાંતિ પિંડોરિયાની આ સફર અને નિઃસ્વાર્થ સેવા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે. દિવ્ય ભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:36 pm

પાટનગરમાં દૂષિત પાણીએ આફત નોતરી:ગાંધીનગરમાં વધુ 11 નવા કેસ નોંધાયા, કુલ આંક 144 પર પહોંચ્યાનો મનપાનો દાવો,સિવિલમાં 85 દર્દીઓ સારવાર હેઠળ

ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણીના પુરવઠાને કારણે ટાઈફોઈડનો રોગચાળો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શહેરના સેક્ટર-24, 26, 28 અને આદિવાડા સહિતના 6થી વધુ વિસ્તારોમાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. આજે મંગળવારે વધુ 11 નવા પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં ફાળ પડી છે. ગઈકાલે સિવિલ તંત્રે 152 દર્દીઓ જાહેર કર્યા હતા.જ્યારે આજે મનપા તંત્રએ સત્તાવાર 144 નો આંકડો જાહેર કર્યો છે.જોકે રાહતના સમાચાર એ છે કે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 14 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે, પરંતુ હજુ પણ 85 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના જૂના સેક્ટરો હાલમાં પાણીજન્ય રોગચાળાની લપેટમાં આવ્યા છે. ખાસ કરીને સેક્ટર-24 થી 28 અને આદિવાડા સહિતના જીઆઈડીસી આસપાસના વિસ્તારોમાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકા દ્વારા દર્દીઓના સાચા આંકડા છુપાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાની ગણગણાટ વહેતી થઈ છે. તંત્ર દ્વારા સ્થિતિ ગંભીર હોવા છતાં તેને 'સામાન્ય' દર્શાવવા મથામણ થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. આદિવાડા વિસ્તારમાં ફિમેલ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત 85 ટીમો ઉતારવામાં આવીશહેરના ​આદિવાડા વિસ્તારમાં એક બાળકીનું શંકાસ્પદ મોત થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રોગચાળાને ડામવા માટે ફિમેલ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિતની કુલ 85 ટીમો મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમોએ અત્યાર સુધીમાં 8,703 ઘરોનો સંપર્ક કરી અંદાજે 37,438ની વસ્તીનું સ્ક્રીનિંગ કર્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને 7,192 ક્લોરીન ટેબલેટ અને 8,235 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ લોકોને પાણી ઉકાળીને પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા માટે પત્રિકાઓ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે. ​બીજી તરફ શહેરમાં પાણીના વિતરણમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઈજનેરી વિભાગ પણ સક્રિય થયો છે. તપાસ દરમિયાન શહેરમાં નાના-મોટા 36 જેટલા પાણીના લીકેજ મળી આવ્યા હતા, જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે. પાણીના સેમ્પલિંગ દરમિયાન 1,898 ટેસ્ટમાંથી 1,775માં ક્લોરીનની હાજરી જોવા મળી છે, જે પાણી પીવાલાયક હોવાનો નિર્દેશ કરે છે. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોમાં 'સુપર ક્લોરીનેશન'ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હંગામી ઓપીડી શરૂ કરવામાં આવી​રોગચાળાની ગંભીરતાને જોતા મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને ત્યાં જ હંગામી ઓપીડી શરૂ કરાવી છે. શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની સંખ્યા મોટી હોવાની આશંકા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર સરકારી આંકડા જ જાહેર કરવામાં આવી રહ્યા છે. સાવચેતીના પગલે તંત્રએ હવે ખાણીપીણીની લારીઓ પર પણ તવાઈ બોલાવી છે, જેમાં પાણીપુરી, બરફના ગોલા અને દૂધની બનાવટો વેચતા એકમોની તપાસ તેજ કરવામાં આવી છે. જોકે ટાઈફોઈડ અને લીકેજની સમસ્યા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન કમિશનરે આપેલા જવાબ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પાટનગરમાં રોગચાળો આ હદે વકરી જવા બદલ તંત્રની બેદરકારીને જવાબદાર ગણી શકાય કે નહીં? જવાબમાં મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ કહ્યુ હતું કે, ડહોળુ પાણી આવતું હોવા છતાં જનતાએ ફરિયાદ કરી ન હતી, આ તો જનતાની લાપરવાહી છે. નવી પાઈપલાઈનમાં વધારે લીકેજ છે કે જૂની પાઈપલાઈનમાં વધારે લીકેજ છે? તેવા સવાલનો જવાબ આપવાનું પણ કમિશનરે ટાળ્યુ હતું અને કુલ 36 લીકેજ પૂરવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:35 pm

દીવાન-બલ્લુભાઈ શાળામાં 119મો સ્થાપના દિવસ ઉજવાયો:પૂર્વ પ્રાથમિક શાળામાં બાળકોએ ડાન્સ રજૂ કર્યા, કેક કાપી

અમદાવાદના કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) દ્વારા 119મા શાળા સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ મિતાલીબહેને શાળાના સ્થાપનાદિનનું મહત્વ સમજાવ્યું હતું. નર્સરી, શિશુવર્ગ અને બાળવર્ગના વિદ્યાર્થીઓએ વિવિધ ડાન્સ રજૂ કર્યા હતા. કાર્યક્રમના સમાપ્તિએ કેક કાપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિતાલીબહેન સરવૈયા, રૂચિતાબહેન રાવળ અને શ્રી નિયતીબહેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કો-ઓર્ડીનેટર આરતીબહેન પંચાલ અને પીનલબહેન રાવળે કાર્યક્રમના સુંદર આયોજન બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:32 pm

અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા આરોપીને શરતી જામીન:બાંગ્લાદેશનો વતની અને ખોટા ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ મેળવ્યો હોવાનો આક્ષેપ

માતા-પિતા બાંગ્લાદેશી હોવા છતાંય એક યુવક ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ બનાવ્યો હોવાના મામલે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલો હાઇકોર્ટ પહોંચતાં કોર્ટે અરજદાર યુવકને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે અને એવું અવલોકન કર્યું છે કે, પ્રથમદ્રષ્ટિએ અરજદાર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. સક્ષમ સત્તાધીશો દ્વારા પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં આવ્યોહાઇકોર્ટે અરજદારને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો અને એવું નોંધ્યું હતું કે, સક્ષમ સત્તાધીશો દ્વારા તેને જે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં આવ્યો છે, એના પ્રથમદ્રષ્ટિએ એવું જણાય છે કે તે ભારતીય નાગરિક છે. આરોપી સામે એવો આક્ષેપ હતો કે તે ભારતીય નાગરિક નથી. તેની જોડે કાયદેસરનો પાસપોર્ટ પણ છે અને એ બનાવટી પણ નથી. જોકે તેની સામે એવો આક્ષેપ છે કે તેના માતા-પિતા બાંગ્લાદેશની નાગરિકતા ધરાવે છે. અરજદાર દ્વારા હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. તેની સામે BNSની ધારા 319(2), ધારા 336(2), 338, 336(3), 340(2) અને 54 તથા પાસપોર્ટ એક્ટની ધારા 12(2) હેઠળ ચાર્જશિટ ફાઇલ કરવામાં આવી હતી. ભારતમાં જન્મ્યો હોવાનું બર્થ સર્ટિફિકેટ ઊભું કર્યુંઓથોરિટીનો તેની વિરૂદ્ધ એવો આક્ષેપ હતો કે, આરોપી અરજદારના માતા પિતા બાંગ્લાદેશની નાગરિકતા ધરાવતા હોવા છતાંય અરજદારે પોતે ભારતમાં જન્મ્યો હોય એવું બર્થ સર્ટિફિકેટ ઊભું કરવામાં આવ્યું હતું. જો કે કોર્ટે કહ્યું હતું કે એ જે હોય તે, પરંતુ આ કોર્ટ સમક્ષ જે હકીકતો સામે આવી છે એ મુજબ અરજદારના ચોક્કસ દસ્તાવેજોના આધારે તેને સક્ષમ ઓથોરિટી દ્વારા ભારતીય નાગરિકતા સાબિત કરતો પાસપોર્ટ ઇસ્યૂ કર્યો હતો. પાસપોર્ટ પોલીસ ઓથોરિટી દ્વારા જપ્ત કરાયોબીજું કે અરજદાર 27 મે, 2025થી કસ્ટડીમાં છે અને એનો પાસપોર્ટ પોલીસ ઓથોરિટી દ્વારા જપ્ત કરાયેલો છે. તેવા સંજોગોમાં આ કોર્ટ માને છે કે અરજદારને હવે વધુ સમય માટે કસ્ટડીમાં રાખવાની કોઇ જરૂર જણાતી નથી. ઉક્ત તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખતાં આ કેસની ફરિયાદમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે એને નજરમાં રાખતાં અને પુરાવા પર વધુ ચર્ચા ન કરતાં આ કોર્ટનું માનવું છે કે પ્રથમદ્રષ્ટિએ અરજદારના પક્ષમાં આદેશ કરવા માટેનો આ ફીટ કેસ છે અને તેથી તેની રેગ્યુલર જામીનની અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે. હાઈકોર્ટે શરતી જામીન આપવાનો આદેશ કર્યોહાઇકોર્ટે 10 હજારના બોન્ડ અને એટલી જ રકમના સ્યોરિટી પર શરતી જામીન આપવાનો આદેશ કર્યો છે. સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી છે કે ટ્રાયલ કોર્ટે હાઇકોર્ટે જામીનની અરજીના આદેશમાં જે અવલોકન કર્યા છે એનાથી પ્રભાવિત થવાનું રહેશે નહીં. એ અવલોકન પ્રાથમિક તબક્કાના છે અને એ માત્રને માત્ર અરજદારની જામીન અરજીનો નિર્ણય કરવા પુરતા છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:31 pm

SVGU માં “Best Out of Waste” વર્કશોપ યોજાયો:વિદ્યાર્થીઓને કચરામાંથી સર્જનાત્મક વસ્તુઓ બનાવતા શીખવાડ્યું

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU) ખાતે EcoVibe Creation Club દ્વારા Best Out of Waste Workshop – Turning Waste into Sustainable Creations વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કચરાનો સર્જનાત્મક રીતે પુનઃઉપયોગ કરતા શીખવવાનો હતો. નિષ્ણાત વીના પંચાલ દ્વારા વિદ્યાર્થીઓને કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી. વર્કશોપ દરમિયાન પ્લાસ્ટિક બોટલ્સ, જૂના અખબારો, કાર્ડબોર્ડ, ટીન કેન, બોટલ કેપ્સ અને જૂના કપડાં જેવા વેસ્ટ મટિરિયલ્સમાંથી આકર્ષક ઇકો-ક્રાફ્ટ્સ બનાવવાની રીતો શીખવવામાં આવી હતી. આ વર્કશોપમાં રિસાયક્લિંગ અને અપસાયક્લિંગના મૂળભૂત સિદ્ધાંતો, પર્યાવરણ સંરક્ષણનું મહત્વ અને ટકાઉ વિચારધારા વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને નવીન વિચારો રજૂ કર્યા. આ વર્કશોપના સંકલનકાર તરીકે ડૉ. આનલ દેસાઈ (BCA વિભાગ) અને ઉન્નતિ પરમાર (IMCA વિભાગ) એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટે પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને કચરાના જવાબદાર ઉપયોગની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં “Reduce, Reuse and Recycle” ના સિદ્ધાંતો અપનાવવા પ્રોત્સાહિત કર્યા. આયોજકોએ જણાવ્યું કે આવા વર્કશોપ્સ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવે છે અને તેમને સર્જનાત્મક તથા સામાજિક રીતે જાગૃત નાગરિક બનવામાં મદદરૂપ થાય છે. આ વર્કશોપને સફળ બનાવવા માટે ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓનું સક્રિય યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:29 pm

દોઢ વર્ષની બાળકી જંતુનાશક દવા પી જતા મોત નીપજ્યું:પતિને પાડોશમાં રહેતી પરિણીતા સાથે આંખ મળી જતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલ પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ તાલુકાના હડમતીયા ગોલીડા ગામે જયદીપભાઈની વાડીમાં રહેતા કમલેશભાઈ ગુણેશિયાની દોઢ વર્ષની દીકરી નાનકી તા.02.01.2026ના રોજ બપોરના 12 વાગ્યાં આસપાસ વાડીમાં ઘર પાસે રમતી હતી દરમ્યાન ત્યાં જીરુંમાં છાંટવાની જંતુનાશક દવા પડી હતી જે નાનકીના હાથમા આવી જતા તે બોટલ મોઢામાં નાખતા દવા પી ગઈ હતી. માતા પિતાનું ધ્યાન પડતા નાનકીના હાથમાંથી દવાની બોટલ લઈ લીધી હતી પરંતુ થોડી દવા પીવાઈ જતા તાત્કાલિક તેને રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અહીં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બાળકીના પિતા ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પતિને પડોશી મહિલા સાથે આંખ મળી ગઈ રાજકોટના ઠેબચડા ગામે રહેતી રાધાબેન મનસુખભાઈ ડાભી (ઉ.વ.30) નામની પરિણીતા હરિભાઈની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી પ્રાથમિક પૂછપરછ કરતા રાધાબેન ડાભીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પતિ મનસુખભાઈ ડાભીને છેલ્લા દોઢ મહિનાથી પડોશમાં રહેતી પરિણીતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે મનસુખ ડાભી અને તેની પરિણીત પ્રેમિકા શિવ શક્તિ હોટલ ખાતે ચા નાસ્તો કરતા હતા દરમિયાન રાધાબેન ડાભી શિવ શક્તિ હોટલ ખાતે આવી હતી અને પતિની પ્રેમલીલાનો ભાંડો ફોડવા વિડીયો ઉતારી ફોટા પાડ્યા હતા. જે મુદ્દે પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપાયેલા પતિએ ઝઘડો કરતા રાધાબેન ડાભીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.અગમ્ય કારણોસર વૃદ્ધે ઝેરી દવા પી કરી આત્મહત્યા હરસુખભાઈ પ્રભુદાસભાઈ વિઠ્ઠલાણી (ઉં.વ.71) ગઈકાલે સાંજે 5.30 વાગ્યા આસપાસ પોતાના બાઈક ઉપર પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી ઘરે આવતા હતા ત્યારે બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે રેલનગર હાઇવે પર એડીબી હોટલ નજીક ઝેરી દવા પી લીધી હતી તેમને તત્કાલ સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ડોક્ટરે તેમને સાંજે 7.30 વાગ્યા આસપાસ મૃત જાહેર કર્યા હતા. બનાવવાની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધે કયાં કારણસર આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે ચોક્કા કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.ઘરકંકાશથી કંટાળી યુવકનો આપઘાત ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ વેજીયા (ઉં.વ.35) ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પંખાના હુંકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પર હાજર તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ બી. ડિવિઝન પોલીસને થતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે તેમને પત્ની સાથે કોઈ કારણે ઝઘડો થતાં પત્ની ત્રણ દિવસથી પોતાના માવતરે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પિતાના ઘરે ચાલી ગઈ હતી. બનાવના સમયે ઘરે ભાવેશભાઈ અને તેનો 10 વર્ષનો પુત્ર હતા. દસ વર્ષનો પુત્ર થોડીવાર ઘર બહાર ગયો અને પછી તેણે આવીને ઘરમાં જોયું તો તેના પિતા ગળાફાંસો ખાધેલી હાલતમાં હતા. તેણે હડાળા ખાતે રહેતા પોતાના દાદાને ફોન કર્યો હતો અને દાદા ઝડપથી ઘરે આવો તેમ કહ્યું હતું જેથી તેમના દાદા ઘરે આવતા પરિવારજનો અને સગા સંબંધીને ભાવેશભાઈના ગળાફાંસા અંગે જાણ થઈ હતી. પોલીસ તપાસમાં હાલ ઘરકંકાસથી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:28 pm

ટ્રાફિક પોલીસ અને યુવક વચ્ચે બબાલનો મામલો:રાવપુરા પોલીસે અરજીના આધારે તપાસ કરતા ભોગ બનનાર કોર્ટના શરણે, જવાબદાર સામે કાર્યવાહીની માગ

વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા એક યુવકને ટ્રાફિક નિયમોના ભંગના આરોપમાં માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં યુવક કૌશિલસિંહ જાટને દાંડિયાબજાર ચાર રસ્તા પાસે રોકીને ટ્રાફિક કર્મી અને એસીપી ડી.એમ. વ્યાસ દ્વારા ઢોર મારમાર્યો અને પ્રાઇવેટ પાર્ટ પર લાતો મારી હોવાના આક્ષેપ બાદ પોલીસે માત્ર અરજી લેતા આખરે યુવકે કોર્ટના શરણ લીધા હતા અને આ મામલે ફરિયાદ યુવકે કોર્ટમાં અરજી કરી છે. નંબર પ્લેટ ન હોવાથી પોલીસે માર માર્યાનો આક્ષેપશહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કૌશિલસિંહ જાટ ૩ જાન્યુઆરીના રોજ માંજલપુર વિસ્તારમાં અલકાપુરી તરફ નોકરી પર જઇ રહ્યા હતા. તેમની બુલેટ બાઇક પર નંબર પ્લેટ નહીં હોવા અને મોડિફાઇડ સાયલેન્સર હોવાના કારણે ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તેમને દાંડિયાબજાર ચાર રસ્તા પાસે રોક્યા. યુવકે બાઇકની ચાવી આપવાનો ઇન્કાર કરતા પોલીસે તેમને માર માર્યો અને બળજબરીથી વાનમાં બેસાડી સયાજીગંજ ટ્રાફિક કચેરી લઇ ગયા. વાનમાં જ યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો યુવકે આક્ષેપ કર્યા હતા. બાદમાં તેને કચેરી પહોંચ્યા બાદ એસીપી ડી.એમ.વ્યાસ સહિતના કર્મચારીઓએ તેમના વાળ ખેંચીને લાકડી વડે ફટકા માર્યા અને પ્રાઇવેટ પાર્ટ પર લાતો મારી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓએ યુવકને જ આરોપી બનાવીને ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ ફરિયાદ ન નોંધાતા કોર્ટમાં અરજીઆ બબલમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો , જ્યાં એક્સ-રે, સોનોગ્રાફી અને સીટી સ્કેન જેવા રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જો કે કોઈ મેજર ઇન્જરી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. યુવકે એસએસજી હોસ્પિટલમાંથી પોલીસને ફરિયાદ આપી હોવા છતાં કોઇ એફઆઇઆર નોંધવામાં આવી નથી. 4 જાન્યુઆરીના રોજ તેઓ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા, પરંતુ ત્યાં પણ તેમની ફરિયાદ લેવામાં આવી નથી. આખરે કૌશિલસિંહ જાટે એસીપી ડી.એમ. વ્યાસ સહિતના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:27 pm

સોની યુથ સર્કલ અમદાવાદે સામાજિક નાટકનું આયોજન કર્યું:જયશ્રીકૃષ્ણ ડાર્લિંગ નાટક ઠાકોરભાઈ દેસાઈ હોલમાં રજૂ થયું

સોની યુથ સર્કલ અમદાવાદ (પૂર્વ) દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડન ખાતે 'જયશ્રીકૃષ્ણ ડાર્લિંગ' શીર્ષકનું ગુજરાતી સામાજિક નાટક યોજાયું. આ કાર્યક્રમ સોની જ્ઞાતિજનો માટે ખાસ આયોજિત કરાયો હતો. આ નાટકમાં સોની સમાજના અગ્રણી હોદ્દેદારો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ સુંદર નાટકનો આનંદ માણ્યો હતો. મંડળના ટ્રસ્ટીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો અને યુવા સભ્યો શ્રી હેતનભાઈ, નીરવભાઈ, અંકિતભાઈ, નિકુંજભાઈ, તેજસભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા સઘન પ્રયાસો કર્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ અને યુવા સભ્યોનું બુકે આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અગ્રણી શ્રી હેમેન્દ્રભાઈ સોનીએ આશીર્વાચન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:27 pm

યુ.કે. કોઠારી વિદ્યામંદિર મહેસાણામાં દ્વિતીય શ્રેષ્ઠ શાળા:શાળાને ₹1 લાખનું ઇનામ મળ્યું, સંસ્થાએ અભિનંદન પાઠવ્યા

મહેસાણા જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાઓ (ગ્રામ્ય વિસ્તાર) માં શ્રી યુ.કે. કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળાને ₹1,00,000 (એક લાખ રૂપિયા) નું ઇનામ પણ મળ્યું છે. સંસ્થાના પ્રમુખ ઠા.સા. વિરેન્દ્રસિંહજી કે. ચૌહાણ અને મંત્રી પંકજભાઈ ડી. કોઠારી સહિત તમામ કારોબારી સભ્યોએ શાળાના આચાર્ય અલકાબેન અને સ્ટાફ મિત્રોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:25 pm

શાંતિ બિઝનેસ સ્કૂલમાં સ્પોર્ટ્સ ફિએસ્ટા 2.0 યોજાયો:55 ટીમોના 291થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

શાંતિ બિઝનેસ સ્કૂલના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ દ્વારા તાજેતરમાં એસબીએસ (SBS) સ્પોર્ટ્સ ફિએસ્ટા 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય સ્પોર્ટ્સ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ ફિટનેસ, ટીમવર્ક અને ખેલદિલીની ભાવના સાથે ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં કુલ નવ રમતોનો સમાવેશ થતો હતો, જેમાં કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, દોડ અને બેડમિન્ટનનો સમાવેશ થાય છે. વિવિધ શાખાઓ અને સેમેસ્ટરનું પ્રતિનિધિત્વ કરતી કુલ 55 ટીમોના 291થી વધુ વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો, જેનાથી સ્પર્ધાત્મક છતાં મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ ઉદઘાટન સમારોહ સાથે થયો હતો. આ પ્રસંગે SBS ના ડિરેક્ટર ડૉ. નેહા શર્મા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈ અને ડીન ડૉ. રિંકી રોલા ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ નેતૃત્વ, શિસ્ત અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવામાં રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. સ્પોર્ટ્સ ફિએસ્ટા 2.0નું સંકલન રાહુલ રાઠોડ અને ડૉ. હેમલતા જેઠાનંદાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમના આયોજનથી તમામ મેચોમાં સરળ સમયપત્રક, નિષ્પક્ષ રમત અને વ્યાવસાયિક આચરણ સુનિશ્ચિત થયું હતું. મેનેજમેન્ટ અને ફેકલ્ટીએ તમામ સહભાગીઓ, વિજેતા ટીમો અને સ્વયંસેવકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને શૈક્ષણિક તેમજ રમતગમત દ્વારા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની SBSની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:21 pm

લાંભા, અમરાઈવાડી સહિતના વિસ્તારોના બાકી ટેક્સધારકોની મિલકતો સીલ:રેવડી બજારમાં ગેરકાયદે 7 દુકાનો અને અસારવામાં 5 ઇન્ડસ્ટ્રીયલ શેડ તોડ્યા

શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચ કૂવા દરવાજા પાસે આવેલા રેવડી બજારમાં સાત જેટલી રોડ પરની ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી હતી અને 4200 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. જેના કારણે થઈને પાંચકુવા ફાયર સ્ટેશન પાસેના રોડ પર ખૂબ મોટી જગ્યા ખુલ્લી થઈ જશે. શહેરના અસારવા વિસ્તારમાં અભિષેક એસ્ટેટ વિભાગ-1માં સેકન્ડ ફ્લોરના ગેરકાયદેસર બનાવવામાં આવેલા 5000 ચોરસ ફુટના 5 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડને પણ તોડી પાડવામાં આવ્યા છે. નોટિસ આપવા છતાં ટેક્સ ભર્યો નહીંમ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે પણ ટેક્સધારક દ્વારા ટેક્સ ભરવામાં આવ્યો નથી તેમને અવારનવાર નોટિસ આપીને ટેક્સ ભરવા માટે જાણ કરવામાં આવી છે છતાં પણ તેઓ દ્વારા ટેક્સ ભરવામાં આવ્યો નથી જેને સીલ કરવાની કાર્યવાહી ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, અમરાઈવાડી, મણીનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં બાકી ટેક્સધારકો સામે મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરી છે. બાકી ટેક્સધારકોની મિલકતો સીલદક્ષિણ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા લાંભા વિસ્તારમાં આવેલા સંઘાણી ઉપવન, અમરાઈવાડીમાં સ્વસ્તિક મોલ, પાણી લીમડા ચંડોળા તળાવ સામે આવેલા ગુડલક કેરલ એન્ડ ટીન માર્કેટ, નારોલ સરખેજ રોડ પર આવેલી રાહત હોટેલ, ગીતામંદિર રોડ પર આવેલી સરકારી લાટી નંબર-1, મણિનગર પ્રેમ સાગર એપાર્ટમેન્ટ સહિતની મિલકતોના ટેક્સ બાકી હોવાને લઈને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:20 pm

પાટણ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં સફળ:રાજ્ય કક્ષાએ સુગમ સંગીત અને હાર્મોનિયમમાં દ્વિતીય સ્થાન

ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણના સંગીત વિભાગના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. આ સ્પર્ધા 31 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી. આ સ્પર્ધામાં કોલેજના સંગીત વિભાગમાંથી કુલ ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી બે વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને કોલેજનું નામ રોશન કર્યું છે. સુગમ સંગીત સ્પર્ધામાં ૨૧ થી ૫૯ વર્ષની કેટેગરીમાં કુમારી શિખા નાયકે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે હાર્મોનિયમ (વાદન) સ્પર્ધામાં એ જ કેટેગરીમાં ઋષિ પટેલે દ્વિતીય ક્રમે રહીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને વિદ્યાર્થીઓને કોલેજના સંગીત વિભાગના પ્રાધ્યાપક ડૉ. સમ્યક પારેખ દ્વારા નિયમિત અને સુવ્યવસ્થિત તાલીમ આપવામાં આવી રહી છે, જે તેમની આ સફળતાનો મુખ્ય આધાર બની છે. વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ નૉર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવ, કોલેજના આચાર્ય ડૉ. રીટાબેન પારેખ તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:19 pm

સાળંગપુરના હરિપ્રસાદ સ્વામીજીએ ગિરગંગા ટ્રસ્ટની મુલાકાત લીધી:જળસંચય કાર્યોને બિરદાવ્યા, ખેડૂતો અને પ્રકૃતિ કલ્યાણની વાત કરી

રાજકોટમાં ચાલી રહેલી હનુમાન કથા દરમિયાન ગત શનિવારે સાળંગપુરના સુપ્રસિદ્ધ હરિપ્રસાદ સ્વામીજીએ ગિરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્વામીજીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી જળસંચયની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ નિહાળી આશીર્વચન પાઠવ્યા હતા. ગિરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે જાણીતી સ્વેચ્છિક સંસ્થા છે, જે લોકભાગીદારીથી ચેકડેમોના નિર્માણ દ્વારા જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે કાર્યરત છે. સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના વરિષ્ઠ સંત હરિપ્રસાદ સ્વામીજીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, નવી પેઢી માટે જળસંચય એ સૌથી મોટી સેવા છે. ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીતે ચેકડેમો અને જળસ્ત્રોત પુનઃ જીવંત કરવાનું કામ થઈ રહ્યું છે, તે જોઈને અંતરથી આનંદ થાય છે. સ્વામી હરિપ્રસાદજીએ વધુમાં નિર્દેશ કર્યો હતો કે, જળ એ જ જીવન છે અને જે વ્યક્તિ પાણી બચાવે છે તે ખરેખર ઈશ્વરની સેવા કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો જો સમૃદ્ધ હશે તો જ રાષ્ટ્ર સમૃદ્ધ થશે અને પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. તેમણે દિલીપભાઈ અને તેમની ટીમના ધરતી માતાને હરિયાળી રાખવાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આ ભગીરથ કાર્ય અવિરત ચાલતું રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, સ્વામીજીના આશીર્વાદથી ગિરગંગા પરિવાર ટ્રસ્ટને નવી ઉર્જા મળી છે. સ્વામીજીના આશીર્વાદ સૌરાષ્ટ્રના દરેક ગામમાં પાણીના સ્તર ઊંચા લાવવા અને જીવસૃષ્ટિને પાણી માટે વલખા ન મારવા પડે તેવા ટ્રસ્ટના લક્ષ્યને વધુ જોરશોરથી કામ કરવાની પ્રેરણા આપશે. આ મુલાકાત પૂર્વે સ્વામી હરિપ્રસાદજીએ વીરવીરૂ ચેકડેમના જલ વધામણાં કર્યા હતા. તેમણે ટ્રસ્ટ દ્વારા નિર્મિત ચેકડેમો અને જળસંચયના કાર્યોને નજરે નિહાળી ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્વામી હરિપ્રસાદજી સાથે ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, પુનિતભાઈ ચોવટિયા, જેન્તીભાઈ સરધારા, વસંતભાઈ લીંબાસીયા, હરીશભાઈ ભાલાણી, ભરતભાઈ પાનેલીયા, પંકજભાઈ વેગડા, ગૌરાંગભાઈ ઠક્કર, હરદેવસિહ જાડેજા, વિઠ્ઠલભાઈ બાલધા, પરસોતમભાઈ કમાણી, ભરતભાઈ ભુવા, કિશોરભાઈ કાથરોટિયા, સુરેશભાઈ દેસાઈ, અશોકભાઈ મોલિયા સહિત ગિરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:17 pm

અરવલ્લીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી શરૂ:'શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન' થીમ હેઠળ જાગૃતિ અભિયાન

અરવલ્લી જિલ્લામાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્ધારિત 'શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન' થીમ હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો અને તેમાં થતી જાનહાનિને અટકાવવાનો છે. આ ઉજવણી સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન, એટલે કે તા. 1 થી તા. 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાભરમાં ટ્રાફિક નિયમો અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ રોડ સેફ્ટી અભિયાનના ભાગરૂપે, મોડાસા RTO કચેરીથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા માર્ગ સલામતીનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો.અભિયાન અંતર્ગત વાહનચાલકોને રેડિયમ પટ્ટી લગાવવા, દ્વિચક્ર અને ચતુર્થ ચક્ર વાહનચાલકો માટે હેલ્મેટ અને સીટ બેલ્ટના ફરજિયાત ઉપયોગ, ઓવર સ્પીડિંગના ગંભીર પરિણામો, મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને વાહન ચલાવવાના જોખમો અને ટ્રાફિક સિગ્નલ તથા માર્ગ ચિહ્નોનું પાલન કરવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ સલામતી જાગૃતિના હેતુ સાથે આયોજિત બાઇક રેલીમાં યુવાનો, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. રેલી દરમિયાન ‘હેલ્મેટ પહેરો – જીવન બચાવો’, ‘ઝડપ નહીં, સલામતી મહત્વપૂર્ણ’ અને ‘ટ્રાફિક નિયમોનું પાલન કરો’ જેવા સંદેશાઓ સાથે લોકોને સલામત વાહનચાલનનો સંકલ્પ કરાવવામાં આવ્યો.અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર, આ જનજાગૃતિ અભિયાન આગામી એક મહિના સુધી સતત ચાલુ રહેશે. જિલ્લામાં વિવિધ સ્થળોએ જાગૃતિ શિબિરો, સ્કૂલ-કોલેજ કાર્યક્રમો, ડેમો પ્રદર્શન, પેમ્પલેટ વિતરણ અને ટ્રાફિક ચેકિંગ સાથે સમજણ આપવામાં આવશે.માર્ગ સલામતી એ માત્ર કાયદો નહીં, પરંતુ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026 દરેક માટે જીવન રક્ષાનો સંદેશ બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:17 pm

શૈક્ષણિક હેતુ માટે AMC 99 વર્ષના ભાડાપટ્ટે પ્લોટ આપશે:થલતેજ, નિકોલ અને નરોડાના ત્રણ પ્લોટ જાહેર હરાજી માટે મૂકવામાં આવ્યા, 72 કરોડથી વધુની આવક થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના થલતેજ, નિકોલ અને નરોડા વિસ્તારમાં આવેલા શૈક્ષણિક હેતુ માટેના ત્રણ પ્લોટ 99 વર્ષના ભાડા પટ્ટે આપશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રકારના સ્કૂલના બાંધકામ માટે જ આ જગ્યા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્લોટના વેચાણથી 72 કરોડ રૂપિયાથી વધારે આવક થશે. આગામી 10મી ફેબ્રુઆરીના રોજ આ પ્લોટની જાહેર હરાજી થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમ અંતર્ગત મળતા વિવિધ હેતુ માટેના પ્લોટ માં કોમર્શિયલ અને રહેણાંક હેતુ માટેના પ્લોટના વેચાણ કરી અને આવક ઊભી કરવામાં આવે છે જોકે કોર્પોરેશન તંત્ર દ્વારા લાંબા સમય બાદ સ્કૂલ માટે પ્લોટની હરાજી કરવામાં આવી રહી છે. વર્ષ 2005ના વર્ષમાં શૈક્ષણિક હેતુ માટેના પ્લોટની હરાજી કર્યા બાદ હવે લાંબા સમય પછી ફરી એક વખત શૈક્ષણિક હેતુ જેમાં પણ સ્કૂલના બાંધકામ માટેના હેતુ માટેના પ્લોટની હરાજી જાહેર કરી છે. જાહેર હરાજીથી ભાડા પટ્ટા માટે પ્લોટની ફાળવણી કરાશે. જેમાં સૌથી મોંઘો પ્લોટ થલતેજ વિસ્તારનો છે જ્યારે સૌથી સસ્તો પ્લોટ નિકોલ વિસ્તારનો છે. તળિયાની કિંમત પ્રતિ ચોરસ મીટર મુજબ 50 ટકા લેખે નક્કી કરવામાં આવી છે. આ પ્લોટ ભાડાપટ્ટે અપાશેAMC દ્વારા જે પ્લોટ ભાડાપટ્ટે આપવા માટે મૂકવામાં આવ્યા છે તેમાં નિકોલના પ્લોટનું ક્ષેત્રફળ 2083 ચો.મી. અને બેઝ પ્રાઈઝ 5.83 કરોડ છે. જ્યારે થલતેજના પ્લોટનું ક્ષેત્રફળ 3663 ચો.મી. અને બેઝ પ્રાઈઝ 50.90 કરોડ રૂપિયા છે. જ્યારે નરોડા વિસ્તારના પ્લોટનું ક્ષેત્રફળ 4427 ચો.મી અને બેઝ પ્રાઈઝ 15.49 કરોડ રૂપિયા છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:17 pm

સુમુલ ડેરી પર પશુપાલકોનો વિરોધ:પાંચ મહિનાની ટર્મ પૂર્ણ છતાં ચૂંટણી કેમ નથી યોજાતી? પ્રશ્ન સાથે કામરેજ, બારડોલી અને માંડવીના પશુપાલકો ત્રાટક્યા

સુમુલ ડેરીના સત્તાધીશો અને પશુપાલકો વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ આજે રસ્તા પર જોવા મળ્યો હતો. અગાઉ અપાયેલી ચીમકી મુજબ આજે કામરેજ, બારડોલી અને માંડવી સહિતના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં પશુપાલકો અને મંડળીના હોદ્દેદારો સુમુલ ડેરી પર ઉમટી પડ્યા હતા. ભારે આક્રોશ સાથે થયેલા આ 'હલ્લાબોલ' કાર્યક્રમથી ડેરી સંકુલમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. વિવિધ તાલુકાઓમાંથી પશુપાલકોના ટોળેટોળા ડેરી પર પહોંચવાનું શરૂ થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજ કરતાં પણ વધુ સંખ્યામાં લોકો હાજર રહેતા સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યા હતા. પશુપાલકોએ એક જ અવાજે માગ કરી હતી કે, અમારી ડેરીમાં વહીવટદારોનું શાસન નહીં, પણ લોકશાહી ઢબે ચૂંટાયેલી પાંખ જોઈએ. પાંચ મહિનાની ટર્મ પૂર્ણ છતાં ચૂંટણી કેમ નથી યોજાતી?પશુપાલકોએ મેનેજિંગ ડિરેક્ટર અને કસ્ટોડિયનને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ મહિનાથી ટર્મ પૂરી થઈ હોવા છતાં ચૂંટણી કેમ નથી યોજાતી? અને કાયદાકીય ગૂંચવણો ઉભી કરીને શા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે? તેવા આકરા સવાલો સાથે પશુપાલકોએ તંત્રને ભીંસમાં લીધું હતું. ડેરીના પૂર્વ ઉપપ્રમુખ અને MD વચ્ચેના વિવાદની પણ અહીં ગુંજ જોવા મળી હતી. ઓગસ્ટ-2025માં મુદત પૂરી થઈ હોવા છતાં જાન્યુઆરી સુધી કોઈ હિલચાલ નથી. કેટલીક મંડળીઓને હાથા બનાવીને જાણીજોઈને કોર્ટમાં કેસ ખેંચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે. 9 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણીઆજના આટલા મોટા શક્તિપ્રદર્શન બાદ સુમુલ ડેરીનું વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દબાણમાં આવી શકે છે. આગામી 9 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, ત્યારે પશુપાલકોનો આ આક્રોશ કોર્ટના વલણ કે તંત્રના નિર્ણય પર કેવી અસર પાડે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:15 pm

પિયાવા પટેલ સમાજનું 26મું વાર્ષિક સ્નેહમિલન:અમદાવાદના નિકોલ ખાતે યોજાયું, બાળકોને માર્ગદર્શન અપાયું

અમદાવાદના નિકોલ ખાતે પિયાવા ગામ પટેલ સમાજનું 26મું વાર્ષિક સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સમાજના સભ્યોએ એકબીજા સાથે સ્નેહપૂર્ણ વાતાવરણમાં મુલાકાત કરી હતી. ગામ પરિવારના છોડને વટવૃક્ષ બનાવવામાં ભરતભાઈ હીરપરા, જયસુખભાઈ રૈયાણી, પ્રેમજીભાઈ રાદડિયા, શાંતિલાલ રૈયાણી અને પરશોતમભાઈ રાદડિયા જેવા વડીલોનું સતત માર્ગદર્શન અને હૂંફ મળતી રહી છે. આ વડીલોના પ્રયાસોથી સમાજ 26 વર્ષથી સક્રિય છે. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રભાવના જગાડવા માટે રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, વર્ષ દરમિયાન અવસાન પામેલા પરિવારના સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં દર્શનભાઈ કાનાણી મહેમાન પદે હાજર રહ્યા હતા. તેમણે બાળકોને અભ્યાસ વિશે અને સરકાર તરફથી મળતી સહાય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પિયાવા પટેલ સમાજના બંધારણ મુજબ, મુખ્ય મહેમાન પદે માત્ર શિક્ષિત વ્યક્તિને જ આમંત્રિત કરવામાં આવે છે, જેથી તેઓ વિદ્યાર્થીઓ અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપી શકે. સમાજનો મુખ્ય ઉદ્દેશ બાળકોની આંતરિક શક્તિઓને બહાર લાવી તેનો વિકાસ કરવાનો છે. આ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ધાર્મિક અને માર્મિક નૃત્યો રજૂ કર્યા હતા. અભ્યાસમાં તેજસ્વી બાળકોને અને કૃતિ રજૂ કરનારાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમાજ દ્વારા બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. આર્થિક રીતે નબળા પરિવારના બાળકોની માહિતી ગુપ્ત રાખીને તેમની સ્કૂલની ફી પણ ભરવામાં આવે છે. ઉપરાંત, વિધવા બહેનોને પણ મદદ કરવામાં આવે છે, જે એક સરાહનીય કામગીરી છે. આ સંસ્થાના પ્રમુખ પદે વિનુભાઈ હીરપરા, ઉપપ્રમુખ જયંતીભાઈ ઠુંમર, મંત્રી ધર્મેશભાઈ વાળદોરિયા અને સહમંત્રી નરેશભાઈ પાનસુરિયા સેવા આપી રહ્યા છે. કારોબારી સભ્યો, યુવા ટીમ અને મહિલા ટીમે પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ મહેનત કરી હતી. બળદેવભાઈ રૈયાણી, નિકુંજ રૈયાણી, પાર્થ હીરપરા, યસ હીરપરા, ધાર્મિક હીરપરા, ભદ્રેશ રાદડિયા, અક્ષય પાનસુરિયા, નિકુંજ ચાંચડ, જયદીપ વિરાણી, હિમાંશુ ઠુંમર, અજય તળાવિયા, ધ્રુવિન ઠુમર, કૃતિકાબેન વાળદોરિયા અને રેન્સીબેન હીરપરા સહિતના સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:15 pm

શિક્ષાપત્રી મંથન:સાધુ પ્રેમવત્સલદાસજીએ કલામનું કથન ટાંક્યું, સૂરજની જેમ ચમકવા પહેલા તપવું પડે

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબના પ્રેરક વચનો ટાંક્યા હતા. તેમણે કહ્યું કે, “સૂરજની જેમ ચમકવું હોય તો પહેલા સૂરજની જેમ તપવું પડે.” સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, જે અગ્નિની ભઠ્ઠીમાં તપે છે, તેની સફળતા દુનિયામાં શોર મચાવે છે. અબ્દુલ કલામ સાહેબના જીવનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, કલામ સાહેબ ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં વૈજ્ઞાનિક બન્યા. શરૂઆતમાં અભ્યાસ દરમિયાન તેમની પસંદગી થઈ ન હતી, પરંતુ તેમણે વિશ્વાસ રાખ્યો કે ભગવાન તેમની પાસેથી કંઈક મોટું કરાવવા માંગે છે. સઘન મહેનત બાદ તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા અને આર્મી, નેવી તથા એરફોર્સના વડાઓ પણ તેમને સલામ ભરે તેવું સન્માન પ્રાપ્ત કર્યું. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જીવનમાં હતાશ ન થવા અને આત્મહત્યા જેવા ખોટા માર્ગો ન અપનાવવા પર ભાર મૂક્યો. તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના ૧૪મા શ્લોકમાં અપાયેલા ઉપદેશનો ઉલ્લેખ કર્યો. આ શ્લોકમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આત્મઘાત તીર્થસ્થાનમાં પણ ન કરવો, ક્રોધથી ન કરવો, કે કોઈ અયોગ્ય આચરણથી મૂંઝાઈને પણ ન કરવો. ઝેર ખાઈને, ગળે ટૂંપો ખાઈને, કૂવામાં પડીને કે પર્વત પરથી પડીને સહિત કોઈપણ રીતે આત્મઘાત ન કરવો. તેમણે શ્રોતાઓને હંમેશા પુરુષાર્થ કરવા અને શ્રી સ્વામિનારાયણ ભગવાન પર શ્રદ્ધા રાખવા પ્રેરણા આપી. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, સફળતા રાતોરાત મળતી નથી. તેના માટે સતત પ્રયત્ન, ધીરજ અને જે કંઈ પ્રાપ્ત થયું છે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અહોભાવ હોવો જોઈએ. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય પાયા છે: દ્રઢ મનોબળ, પ્રચંડ પુરુષાર્થ અને ભગવાનની કૃપા.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:05 pm

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું PCEE ઇન્સ્પેક્શન:8 જાન્યુઆરીએ ઇલેક્ટ્રિફિકેશન લાઇનનું નિરીક્ષણ થશે

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશન લાઇનનું PCEE (પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર) દ્વારા 8 જાન્યુઆરીએ નિરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણ પરખ અસારવાથી શરૂ થશે, જેમાં અધિકારીઓ ઇડર અને ખેડબ્રહ્મા સુધી જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું CRS (કમિશનર ઓફ રેલવે સેફ્ટી) નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. આ રૂટ પર ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ સંપન્ન થયું છે. આથી, 8 જાન્યુઆરી, ગુરુવારના રોજ PCEEના નિરીક્ષણ માટે અધિકારીઓ હિંમતનગર રેલવે સ્ટેશન પર પહોંચશે. નિરીક્ષણ કાર હિંમતનગરથી ઇડર જશે, જ્યાં 60 મિનિટનો વિરામ લેવામાં આવશે. ત્યારબાદ ઇડરથી ખેડબ્રહ્મા તરફ આગળ વધશે. ખેડબ્રહ્માથી અધિકારીઓ ઇલેક્ટ્રિક લોકો સાથે ઇલેક્ટ્રિફિકેશનનું ટ્રાયલ કરશે. આ ટ્રાયલ હિંમતનગર રેલવે સ્ટેશને પરત ફર્યા બાદ નિરીક્ષણ પૂર્ણ થશે. નિરીક્ષણનો વિગતવાર કાર્યક્રમ જોઈએ તો 8 જાન્યુઆરીએ સવારે 8:30 કલાકે અસારવાથી PCEE નિરીક્ષણ કાર ઉપડશે. તે સવારે 10:15 કલાકે હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચશે. સવારે 10:30 કલાકે હિંમતનગરથી ઇડર જવા રવાના થશે અને બપોરે 1:00 કલાકે ઇડર પહોંચશે. ઇડરમાં રોકાણ કર્યા બાદ, બપોરે 2:15 કલાકે ઇડરથી ખેડબ્રહ્મા માટે પ્રસ્થાન કરશે અને બપોરે 3:10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે. બપોરે 3:40 કલાકે ખેડબ્રહ્માથી ઇલેક્ટ્રિક લોકોનું ટ્રાયલ શરૂ થશે, જે 30 મિનિટમાં એટલે કે સાંજે 4:10 કલાકે હિંમતનગર પરત પહોંચશે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 9:01 pm

માલવણ હાઈવે પર બે હોટલમાંથી પોષ ડોડવા ઝડપાયા:102 કિલોથી વધુ જથ્થો, 20.52 લાખનો મુદ્દામાલ જપ્ત, બેની ધરપકડ

માલવણ-ધાંગધ્રા હાઈવે પર આવેલી બે હોટલમાંથી પોલીસે પોષ ડોડવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 102 કિલો 800 ગ્રામ પોષ ડોડવા સહિત કુલ રૂ. 20.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. ઝડપાયેલા આરોપીઓમાં વનારામ નર્સિંગારામ શિયા (ઉં.31), જે માલવણ હાઈવે પરની 'આલીશાન હોટલ'નો સંચાલક છે, અને જયરામ પુરારામ શિયા (ઉં.25), જે 'રામદેવ હોટલ'નો સંચાલક છે, તેમનો સમાવેશ થાય છે. બંને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે. આ કેસમાં ઇમરાનખાન નસીબખાન મલેક અને સલીમખાન ઉર્ફે સલિયો અમીરખાન મલેક (બંને રહે. પીપળી, તા. પાટડી) ફરાર છે. આ ઉપરાંત, પોષ ડોડવાનો જથ્થો સપ્લાય કરનાર ભીખારામ જુગતારામ (રહે. નિબાલી દુધવા, બાડમેર, રાજસ્થાન) પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીઓની હોટલમાંથી 102 કિલો 800 ગ્રામ પોષ ડોડવા જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂ. 15,42,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને જથ્થાની હેરાફેરીમાં વપરાયેલ રૂ. 5,00,000ની બોલેરો કેમ્પર ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. આમ, કુલ રૂ. 20,52,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આરોપીઓ ગેરકાયદેસર રીતે પોષ ડોડવાનો જથ્થો વેચાણ અર્થે મંગાવીને પોતાની હોટલોમાં રાખી વેચાણ કરતા હતા. ફરાર આરોપીઓ ગુનામાં એકબીજાને મદદગારી કરી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 8:56 pm

ગોરીયાવડ-મેતાસર ગામ વચ્ચેના રોડનું કામ ગ્રામજનોએ બંધ કરાવ્યું:કામ અત્યંત નબળી ગુણવત્તાનું હોવાનો આરોપ લગાવ્યો, ન્યાયીક તપાસની માંગ કરી

પાટડી તાલુકાના ગોરીયાવડ અને મેતાસર ગામ વચ્ચે રૂ. 3.90 કરોડના ખર્ચે બની રહેલા રોડનું કામ ગ્રામજનોએ અટકાવી દીધું છે. નબળી ગુણવત્તાના કામનો આરોપ લગાવીને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત ગત 26મી મેના રોજ દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારના હસ્તે ગોરીયાવડ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માવસર-ગોરીયાવડ-મેતાસર-અંબાળા રોડને આવરી લે છે. થોડા સમય અગાઉ આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, એક જાગૃત નાગરિકે રોડના કામનો વીડિયો બનાવીને તેની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક લોકોએ કામ અત્યંત નબળી ગુણવત્તાનું હોવાનો આરોપ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનો મોટી સંખ્યામાં કામની જગ્યાએ એકઠા થયા હતા અને હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે દસાડા તાલુકાના ગોરીયાવડ-મેતાસર રોડનું કામ બંધ કરાવી દીધું હતું. ગ્રામજનોએ ડામર અને અન્ય મટીરીયલ નબળી ગુણવત્તાનું વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો અને રોડ લાંબો સમય ટકશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરી હતી. લોકોએ કામગીરી બંધ કરાવીને ઉચ્ચ સ્તરેથી ન્યાયીક તપાસની માંગ કરી હતી. તેમણે સૂત્રોચ્ચાર કરીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી યોગ્ય તપાસ ન થાય અને કામ યોગ્ય રીતે હાથ ધરવામાં ન આવે ત્યાં સુધી કામગીરી શરૂ થવા દેવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 8:50 pm

ગોધરામાં લાયન્સ ક્લબ દ્વારા ધાબળા વિતરણ:દાતાઓના સહયોગથી શિયાળાની ઠંડીમાં જરૂરિયાતમંદોને રાહત મળશે

લાયન્સ ક્લબ ગોધરા અને દાતાઓના સૌજન્યથી શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ ગરીબ, નિરાધાર અને રસ્તા પર રહેતા લોકોને ઠંડીથી રાહત આપવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત, શિયાળાની તીવ્ર ઠંડીથી પીડાતા લોકો, જેઓ પાસે પૂરતા ગરમ વસ્ત્રો નથી, તેમને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. એક ધાબળો પણ આવા લોકો માટે મોટી રાહત સમાન હોય છે. ધાબળા વિતરણ લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ કેતકી સોની, હેમંત વર્મા, શૈલેષ શેઠ, ઇન્દુ પરમાર, કેતન શર્મા અને પ્રદીપ સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. ક્લબના સભ્યોએ આ સેવાકાર્યમાં સક્રિય યોગદાન આપ્યું હતું. સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા અને માનવસેવાની ભાવનાને આગળ ધપાવવા આવા સેવાકાર્યો અત્યંત જરૂરી છે. લાયન્સ ક્લબ ગોધરાએ સમાજના દરેક વર્ગને આવા લોકહિતના કાર્યોમાં મદદરૂપ થવા અપીલ કરી હતી. સ્થાનિક લોકો દ્વારા આ માનવતાભર્યા કાર્યને વ્યાપક આવકાર મળ્યો હતો અને લાયન્સ ક્લબ ગોધરાની આ સેવાભાવી પહેલની સરાહના કરવામાં આવી હતી. ક્લબ ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો યોજવા પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 8:48 pm

ગાંધીનગરમાં 565 શ્રેષ્ઠ પશુપાલકોનું સન્માન:91 લાખથી વધુ પ્રોત્સાહક રકમનું વિતરણ, પશુપાલન હવે પૂરક નહીં, સ્વતંત્ર વ્યવસાય બન્યો: રાજ્ય મંત્રી કટારા

ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ 2025-26” યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ 565 પશુપાલકોને રૂ. 91 લાખથી વધુની પ્રોત્સાહક રકમના ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રૂ.1 લાખ, રૂ. 51 હજાર અને રૂ. 31 હજારનો પુરસ્કારરાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર જૂનાગઢના પશુપાલક અરજણભાઈ ઓડેદરા, દ્વિતીય ક્રમે સુરતના ખંડુભાઈ પટેલ અને તૃતીય ક્રમે મોરબીના પ્રવિણભાઈ પટેલને અનુક્રમે રૂ. 1 લાખ, રૂ. 51 હજાર અને રૂ. 31 હજારની રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા અને તાલુકા કક્ષાએ પસંદગી પામેલા વિજેતાઓને પણ પ્રોત્સાહક રાશિ એનાયત કરવામાં આવી હતી. પશુ દવાખાનાઓ અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું ઈ-લોકાર્પણ આ કાર્યક્રમ દરમિયાન મંત્રીના હસ્તે રાજ્યમાં રૂ. 7.24 કરોડના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરાયું હતું. સાથે જ ‘દાણ સહાય યોજના’ હેઠળ ગાભણ અને વિયાણ થયેલા પશુઓ માટે દાણ ભરેલા વાહનોને લીલી ઝંડી આપીને દાણ વિતરણનો પ્રારંભ કરાયો હતો. વિક્સિત ભારતમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાસમારોહને સંબોધતા રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, પશુપાલન આજે પૂરક વ્યવસાય નહીં પરંતુ સ્વતંત્ર અને આવકદાયક વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. યુવાનો તેમજ નિવૃત્ત શિક્ષિત વર્ગ પણ હવે પશુપાલન તરફ આકર્ષાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ 2047”ના વિઝનને સાકાર કરવામાં પશુપાલન અને ડેરી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ પશુપાલનમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું તેમજ ગાયોના મળ-મૂત્રના યોગ્ય ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ પટેલે પણ પશુપાલકોને અભિનંદન પાઠવ્યા હતા. સમારોહમાં પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ સહિતના અધિકારીઓ, પશુ ચિકિત્સકો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 8:33 pm

'કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો':ભાજપ પ્રદેશ પ્રમુખના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- VB-G RAM-G યોજનાથી હવે 125 દિવસ રોજગારની ગેરંટી

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં VB-G RAM-G બિલ પસાર કરવામાં આવ્યું છે. યુપીએ સરકારમાં શરૂ થયેલી મનરેગા યોજનાનું સ્થાન લીધેલા VB-G RAM-G બિલ ગ્રામીણ પરિવારોને વર્ષમાં 125 દિવસ રોજગારી આપવામાં આવશે. આ બિલને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસને રામ, ગામ અને કામથી વાંધો- જગદીશ વિશ્વકર્માગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રામનું નામ લેવામાં કોંગ્રેસને હમેંશા સંકોચ અને સમસ્યા રહી છે. રામના નામથી આજની કોંગ્રેસ અને તેમના વડવાઓને તકલીફ છે. શ્રી રામનો જન્મ ભારતમાં થયો હતો આ દેશ સનાતન ધર્મમાં માનનારો દેશ છે છતા કોંગ્રેસને રામ નામથી શું વાંધો છે? કોંગ્રેસને ગામનો વિકાસ થાય તો તેમા પણ વાંધો છે. ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તેમા પણ કોંગ્રેસને વાંધો છે એટલે કે ટુંકમાં કહીએ તો કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો છે. કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ગામડાનો વિકાસ અને રોજગારી મળી રહે તે દિશામાં વિચાર્યુ નથી. કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેકટરી રહી છે,કોંગ્રેસ ભ્રષ્ટાચારને બચાવવાનું આંદોલન કરી રહી છે. સંસદમાં જ્યારે VB-G RAM-G પર ચર્ચા થઇ રહી હતી ત્યારે રાહુલ ગાંધી ક્યા હતા? 2004 થી 2014 દરમિયાન મનરેગામાં રૂ.2.5 લાખ કરોડ રૂપિયા વપરાયા જ્યારે 2014 થી 2024 દરમિયાન મોદીજીના સાશનમાં મનરેગામાં અંદાજે 8.5 લાખ કરોડ રૂપિયા વપરાયા છે. આજની જરુરિયાતને ધ્યાનમાં રાખઈને યોજનામાં ફેરફાર કરાયાવિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની દેશની કેન્દ્ર સરકારનું આ જ દિશામાં એક અતિમહત્વપૂર્ણ પગલું છે. આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે. મનરેગા 2005માં શરૂ થઈ હતી, પરંતુ ત્યારથી આજનું ગ્રામીણ ભારત ઘણું બદલાઈ ચૂક્યું છે. ગ્રામીણ ગરીબી 2011-12માં 25.7 ટકા હતી, જે 2023-24માં ઘટીને 4.86 ટકા થઈ છે. સુવિધાઓ સુધરી છે અને આજીવિકાના સાધનો વિસ્તર્યા છે. તેથી 2005ની પરિસ્થિતિ મુજબ બનાવેલ યોજના આજના સમયની ગ્રામીણ અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા, આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે. મનરેગા માટી કામ, તળાવનું કામ કે રોડ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતી મર્યાદિત હતી જ્યારે VB-G RAM-G નો ઉદ્દેશ્ય માત્ર મજૂરી કામ થકી વેતન આપવાનો નહિ પણ કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા, ગ્રામ્ય MSME અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગસાહસિક તરીકે તૈયાર કરવાનો છે. VB-G RAM-Gમાં 125 દિવસના કામની ગેરંટીમનરેગામાં 100 દિવસ કામની ગેરેંટી હતી જ્યારે VB-G RAM-Gમાં 125 દિવસના કામની ગેરંટી આપવામાં આવી છે. મનરેગામાં 15 દિવસે વેતન ચૂકવવામાં આવતું હતું જ્યારે VB-G RAM-Gમાં સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. VB-G RAM-Gમાં રિયલ-ટાઈમ ડેટા અપલોડ, GPS અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક અને AI ના ઉપયોગથી પારદર્શીતા વધવાથી નકલી જોબકાર્ડથી ફરજી લાભાર્થીઓ લાભ નહિ લઈ શકે, મનરેગામાં થતો ભ્રષ્ટાચાર અટકશે. કોંગ્રેસના નેતા પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવગાંધી કહેતા કે તેઓ એક રૂપિયો મોકલે તો જનતા સુધી માત્ર 15 પૈસા પહોંચતા હતા વચેટીયાઓ જનતાના પૈસા ખાઇ જતા હતા. આજે મોદી સરકારમાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સહાય સીધી પહોંચે છે. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશની અંદાજે 600 સંસ્થાઓ, યોજનાઓ અને પુરસ્કારો ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા. 1980માં ઇન્દિરા ગાંધીજીએ બધી રોજગાર યોજનાઓને ભેગી કરીને રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજના નામ આપ્યું. બાદમાં રાજીવ ગાંધીએ તેનું નામ બદલીને જવાહર રોજગાર યોજના કર્યુ. 2004માં યુપીએ સરકારે તેનું નામ બદલીને નરેગા કર્યું, અને ત્યારબાદ 2005માં તેને ફરીથી બદલીને મનરેગા કરવામાં આવ્યું. તો જ્યારે કોંગ્રેસ સરકારે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્યું, ત્યારે શું તે પંડિત જવાહરલાલ નહેરુનું અપમાન હતું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમેંશા લોકશાહી માટે મહત્વપુર્ણ સંસ્થાનો અને યોજનાઓને જનસેવા સાથે જોડવાની પરંપરા સ્થાપી છે. ઉદાહરણ તરીકે રાજભવનનું નામ લોકભવન, રાજપથનું કર્તવ્ય પથ, રેસકોર્ષ રોડનું લોકકલ્યાણ માર્ગ, પ્રધાનમંત્રી કાર્યાલયનું સેવાતીર્થ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ VB-G RAM-G યોજના લઇને આવ્યા છે. આ યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજનામાં 100 દિવસ કામ મળતુ હતુ હવે મોદીજીના નેતૃત્વમાં બનેલી VB-G RAM-G યોજનામાં 125 દિવસ કામની ગેરેંટી મળશે. આમા કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયુ છે. વાવણી અને કાપણીની મોસમમાં 60 દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઇ કરવામાં આવી છે જેથી ખેતીની સિઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે. યોજના અંતર્ગત ખેતીનિ સિઝન સહિત કુલ 185 દિવસની રોજગારી મળી શકશેVB-G RAM-Gમાં 125 દિવસ અને 60 દિવસ ખેતીની સિઝનમાં એમ કુલ 185 દિવસ રોજગારી મળી શકશે. આ યોજનામાં કેન્દ્ર સરકારથી ગ્રામ પંચાયત સુધી વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે. જેનાથી આપણે સંતુલિત વિકાસની દિશામાં વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું. વિકસીત ભારત જી રામજીમાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યોજનાના સુચારુ અમલ માટે ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ સાથે બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન, જીયોટેગીંગ અને રિયલ ટાઇમ ડેશબોર્ડ દ્વારા પારદર્શિતા સુનિશ્ચિત થશે. વેતનની ચૂંકવણી પણ સમયસર થાય તે માટે વિલંબ માટે વળતરની પણ જોગવાઇ છે. વિકસીત ભારત જી રામ જી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામ જી યોજના ગરિબોનું સન્માન કરીને ગ્રામિણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. . આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટ અને પ્રદેશના મુખ્ય પ્રવકતા ડો.અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 8:19 pm

6 લાખની કિંમતની 80 પાઇપો ચોરાઇ:અંબાસણ BSF કેમ્પ પાસે ONGCની પાઇપલાઇનના કામમાં તસ્કરી, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેસાણા જિલ્લાના અંબાસણ BSF કેમ્પ પાસે આવેલા ONGCના વેલ પરથી 80 નંગ પાઇપોની ચોરી થવાની ઘટના સામે આવી છે. આશરે 6 લાખ રૂપિયાની કિંમતની આ પાઇપો અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતાં લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાઇપ નાખવા એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતોONGC દ્વારા મોદીપુર ગામના વેલ નંબર 111થી ભેસાણા ગામની સીમમાં આવેલા વેલ નંબર 200 સુધી 2 ઇંચની એ.એસ. કોટેડ પાઇપ નાખવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હોવાથી, અંબાસણ BSF કેમ્પ પાસે આવેલા વેલ નંબર 152ની ખુલ્લી જગ્યામાં 80 નંગ પાઇપો ઉતારવામાં આવી હતી. આ પાઇપોને જોડવા માટે વેલ્ડિંગનું કામ પણ પ્રગતિમાં હતું. તપાસ કરતા ત્યાંથી 80 નંગ પાઇપો ગાયબ હોવાનું માલૂમ પડ્યુંગત 15 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે સાઈડ ઇન્ચાર્જે મુલાકાત લીધી ત્યારે તમામ પાઇપો સ્થળ પર હાજર હતી. જોકે, બીજા જ દિવસે એટલે કે 16 ઓક્ટોબરના રોજ તપાસ કરતા ત્યાંથી 80 નંગ પાઇપો ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે સાઈડ ઇન્ચાર્જે તાત્કાલિક પ્રોજેક્ટ મેનેજરને જાણ કરી હતી. ચોરી થયેલી પાઇપો આશરે 12 મીટર લાંબી અને 2 ઇંચની પહોળાઈ ધરાવતી હતી. 6 લાખ મત્તાની ચોરી અંગે પોલીસમાં ફરિયાદહરિરામ જાટ દ્વારા આસપાસના તમામ વેલ પર તપાસ કરવામાં આવી હતી, પરંતુ પાઇપોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે આ મામલે હરિરામ જાટ દ્વારા લાઘણજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ 6 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 8:11 pm

'બનાસકાંઠા-દાહોદમાં એકપણ ઘરમાં પીવાલાયક પાણી પહોંચતું નથી':રાજ્યના માત્ર 47.3 %ના ઘરે જ શુદ્ધ પાણી પહોંચે છે, જળશક્તિ મંત્રાલયના રિપોર્ટને ટાંકીને કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

ગાંધીનગર શહેરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોડના કેસમાં વધારો થયો છે. જે મુદ્દે કોંગ્રેસ હવે સરકાર ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ 2024નો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં 47.3 ટકાના ઘરે જ ગુણવત્તાયુક્ત પાણી પહોંચતું હોવાનો દાવો કર્યો છે. તેમજ બનાસકાંઠા અને દાહોદમાં રીપોર્ટ મુજબ શૂન્ય ટકામાં પીવાલાયક પાણી ઘરે પહોંચે છે. શુદ્ધ પીવાલાયક પાણી અને સ્માર્ટ સીટીઓના નામે કરોડો રૂપિયા ખર્ચાય - કરોડોની જાહેરાત બાદ પણ ગુજરાતની જનતા સુધી શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. 'ગુજરાતમાં માત્ર 47.3 ટકાના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે'જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટ 2024 મુજબ ગુજરાતમાં માત્ર 47.3 ટકાના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે. જ્યારે સમગ્ર દેશમાં 76 ટકા ઘરો સુધી ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે. વર્ષ 2022 સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં 30મા ક્રમે છે. ડિસોલ્વેડ ઓક્સિજન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વોટર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે. દાહોદ-બનાસકાંઠામાં રિપોર્ટ મુજબ 0.0 ટકા ઘરોમાં પીવાલાયક પાણીરિપોર્ટ જાહેર કરી કોંગ્રેસે દાવો કર્યો છે કે, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 31.9 ટકા ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદમાં 46.1 ટકા ઘરોમાં જ પીવાલાયક પાણી આવે છે. દાહોદ અને બનાસકાંઠામાં રિપોર્ટ મુજબ 0.0 ટકા ઘરોમાં પીવાલાયક પાણી આવે છે. રિપોર્ટ મુજબ 19 જિલ્લામાં નળ થકી 50 ટકાથી ઓછા લોકોને ગુણવત્તાયુક્ત પીવાલાયક પાણી મળે છે. દૂષિત પાણીથી નાગરિકો મોટા પ્રમાણમાં બીમારીમાં સપડાયાગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાલાસિનોર અને ગાંધીનગરમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. દૂષિત પાણીથી બાળકોથી લઈને નાગરિકો મોટા પ્રમાણમાં બીમાર પડી રહ્યા છે. તેની સાથે સાથે જળ શક્તિ મંત્રાલયના 2024ના રિપોર્ટ ચોકાવનારા છે. ગુજરાત રાજ્યમાં 47.3 ટકા જેટલા ઘરોમાં જ માત્ર શુદ્ધ પાણી આવે છે. 50 ટકા કરતાં વધુ ઘરો એવા છે કે જ્યાં શુદ્ધ પીવાલાયક પાણી પણ પહોંચતું નથી. ગાંધીનગરમાં માત્ર 31.9 ટકા ઘરોમાં જ શુદ્ધ પીવાલાયક પાણી આવે છે. જ્યારે અમદાવાદમાં 46.1 ટકા ઘરમાં જ શુદ્ધ પીવાલાયક પાણી આવે છે. શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ વધુમાં પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા અને દાહોદ જેવા જિલ્લાઓમાં એક પણ ઘરમાં પીવાલાયક પાણી આવતું નથી તેવો રિપોર્ટ ખૂબ ચોંકાવનારો છે. અલગ અલગ 19 જિલ્લાઓમાં 50 ટકા કરતાં ઓછા ઘરોમાં પીવાલાયક પાણી પહોંચે છે. આ રિપોર્ટ કેન્દ્રના જળશક્તિ મંત્રાલય દ્વારા જ બહાર પાડવામાં આવ્યો છે. જ્યારે જમીની હકીકત અલગ છે, ગુજરાતની જનતા સુધી શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ છે. દરેક ગુજરાતીને શુદ્ધ પીવાલાયક પાણી ક્યારે મળશે ? સરકાર જવાબ આપે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 8:02 pm

USAના IFLDએ ટોચના 5 માર્ગદર્શક કર્યાં જાહેર:અમદાવાદના ડૉ. શૈલેષ ઠાકરની ભારતમાંથી એકમાત્ર પસંદગી

તાજેતરમાં USAના IFLD દ્વારા વિશ્વના ટોચના 5 માર્ગદર્શકોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડૉ. શૈલેષ ઠાકર ભારતમાંથી પસંદ કરાયેલા એકમાત્ર વ્યક્તિ છે. આ પસંદગી માટેની પ્રક્રિયાનું કુલ મતદાન 100 દિવસ સુધી ચાલુ રહ્યું હતું. જેમાંથી સમગ્ર વિશ્વમાંથી કુલ 87 લોકોની પસંદગી કરવામાં આવી છે. પસંદગી માટેના માપદંડ નીચે મુજબ છે. 1. વિચારનો વ્યવહારુ ઉપયોગ2. સર્જનાત્મક વિચારસરણી3. અદ્યતન ટેકનોલોજી4.તાલીમ સહાય અને ટેકનોલોજી5.યોગદાન આપનાર ચાલુ રાખો6. દેશની બહાર7.વિચારનો સ્વીકાર ડૉ. શૈલેષ ઠાકર આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, યાદીમાં ભારતીય તરીકે ગર્વની લાગણી છે. 2026માં તે વધુ નમ્ર અને જાણવા જેવું બન્યું છે.' 'હું 1960માં અમદાવાદમાં જન્મ્યો અને ઉછર્યો છું.ડૉ. ઠાકરે વધુમાં કહ્યું કે, પરિવર્તનની ગતિ ખૂબ જ ઝડપી છે. ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. લેન્ડલાઈનથી સ્માર્ટફોન પર આવવું એ પરિવર્તનનો પુરાવો છે. સારા જીવન માટે 5 ટિપ્સ1. નેટમાં વિશ્વાસ રાખો, ગ્રોસમાં નહીં2. દર 9 વર્ષે ભ્રમણકક્ષા બદલો, ક્યારેય ડોમેન બદલો નહીં3. ક્યારેય સરખામણી કરશો નહીં. બે બાળકોમાં પણ.4. કોઈપણ ક્ષેત્રમાં 10,000 કલાકનું રોકાણ કરો5. મુક્તિની ભૂમિકાઓનું સંતુલન રાખો. કોઈપણ તબક્કે અપડેટ અને અપગ્રેડ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, થાઇલેન્ડના ડૉ. કુંગ સારાવાકે વૈશ્વિક વડા તરીકે યાદી જાહેર કરી અને આવતીકાલ માટે શ્રેષ્ઠ જીવનની શુભેચ્છા પાઠવી. તેમણે વર્ણન કર્યું કે માનવીએ જીવનને પ્રેમ કરવો જોઈએ કારણ કે આપણે બધાએ અહીં ફક્ત એક જ સમય પસાર કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:56 pm

ખરાબ AQIને લઈ હાઇકોર્ટમાં PIL:અરજદારે AQI સુધારવા શું કર્યું, NGTમાં અરજી પેન્ડિંગ તેમાં ભાગ લો, અરજીનો નિકાલ

અમદાવદામાં હવા પ્રદૂષણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે શરૂઆતમાં જ પ્રશ્ન કર્યો હતો કે AQI સુધારવા અરજદારે શું કર્યું છે? જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે તેણે ઘટાદાર વૃક્ષો વાવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે તે કામ ચાલુ રાખો અને AQI ઇન્ડેક્સ બગડવા પાછળ સરકાર જવાબદાર નહીં, બધાની સહિયારી જવાબદારી છે. બાંધકામ કરો છો, પરંતુ વૃક્ષો વાવતા નથી. પાર્કિંગ માટે જગ્યા રાખો છો, વૃક્ષો માટે નહીં. અમદાવાદની નાગરિકની જવાબદારી શું? અરજદારે માંગ કરી હતી કે સરકાર હવા પ્રદૂષણને લઈને લોકોમાં જાગૃતિ લાવે જે સંદર્ભે કોર્ટે કહ્યું હતું કે લોકો દંડ ભરે છે, પરંતુ હેલ્મેટ પહેરતા નથી. તો શું થાય? અરજદારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ લઘુતમ AQI 40 હોવો જોઈએ. અરજદાર ફોટોગ્રાફર છે અને અરજીમાં GPCB તેમજ AMC પક્ષકાર બનાવાયા છે. 2021 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ AQI માત્ર 05 હોવો જોઈએ. જે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ આઠ ગણો વધુ છે. પહેલા નિયમોમાં સુધારો જરૂરી છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે જન જાગૃતિ છત્તા લોકો હેલ્મેટ પહેરતા નથી ,ફક્ત નિયમો બનાવવાથી શું થશે ? અરજદારે જણાવ્યું હતું કે હવા પ્રદૂષણને લઈને દિલ્હીમાં એક કમિટી બની છે. ‘અમે તમને પબ્લિસિટી આપવા નથી બેઠા’કોર્ટે કહ્યું હતું કે દિલ્હી કરતા અમદાવાદ હવાની દૃષ્ટિએ સારું છે. તમે શા માટે કશું નથી કરતા? અમે તમને પબ્લિસિટી આપવા નથી બેઠા. સરકારી વકીલે કહ્યું હતું કે NGTમાં આ અંગેની અરજી પેન્ડિંગ છે. જેની ઉપર 20 જાન્યુઆરીએ સુનાવણી છે. GPCB અને રાજ્ય સરકારની NGTએ પ્રશંસા કરી છે. હાઈકોર્ટ અરજદારને NGT દિલ્હી સમક્ષ ચલાઉ અરજીમાં રજૂઆત કરવાનું જણાવી અરજીનો નિકાલ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:55 pm

Editor's View: ખૌમેનીનો ખેલ ખતમ:જેન-ઝીના બળવાએ ઈસ્લામિક દેશને ધ્રુજાવ્યો, ક્રાંતિમાં ધર્મગુરુઓ જોડાયા, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી શકે

28 ડિસેમ્બર 2025ના દિવસે તહેરાનની ગ્રાન્ડ બજારમાં ઠંડી સાંજ હતી. 19 વર્ષનો એક યુવાન બઝારની એક સાંકડી ગલીમાં ઉભો હતો. જેનઝી યુવાને જ્યારથી હોશ સંભાળ્યો ત્યારથી તે રસ્તા પર બુર્ખો પહેરીને ચાલતી મહિલાઓ, મોરલ પોલીસની દાદાગીરી અને મોંઘવારી સિવાય કશુંય જોયું ન હતું. પોતાના મનના એક ખુણામાં ક્યાંક તેણે આઝાદીનું સપનું જોયું હતું પણ ખિસ્સામાં 1 ડોલર ખરીદવા માટે પંદર લાખ રિયાલ (ઈરાની ચલણ) નહોતા. એવામાં અચાનક બજારમાં એક અવાજ સંભળાયો... ખટાક! વર્ષો જૂના મસાલાના વેપારીએ પોતાની દુકાનનું લોખંડી શટર પાડી દીધું. જે વેપારીએ 1979માં ખોમેનીને સત્તા પર બેસાડવા માટે જીવ રેડ્યો હતો તે વેપારી આજે એક પછી એક પોતાની દુકાનોના શટર પાડી રહ્યા હતા. આ માત્ર લોખંડ પછડાયાનો અવાજ ન હતો. આ 46 વર્ષ જૂના સામ્રાજ્યના પતનનો ટકોરો હતો. થોડી જ મિનિટોમાં તેહરાનનું એશિયાનું લગભગ સૌથી મોટું બજાર સ્મશાન જેવું શાંત થઈ ગયું. યુવાન માટે આ બધું નવું હતું માટે તેણે ખિસ્સામાંથી પોતાનો સ્માર્ટફોન કાઢ્યો અને કેમેરો ઓપન કર્યો, નેટવર્ક ડાઉન, ઈન્ટરનેટ બેન. છતાં તેણે પોતાની જેન ઝી બુદ્ધિ વાપરીને ઈરાન અને દુનિયાને મેસેજ મોકલ્યો આજે બજાર બંધ છે. કાલે સરકાર બંધ હશે. બીજી સવારે ઈરાનની તેહરાન યુનિવર્સિટીના રસ્તાઓ પર લોહીના ડાઘા પડ્યા દેખાયા. જેન ઝી યુવાનને ગોળી મારવામાં આવી હતી. આખા ઈરાનમાં આ જ માહોલ જોવા મળ્યો. આ કોઈ ધાર્મિક લડાઈ ન હતી પણ સરકાર સામે પડેલા વેપારીઓ, શિયા-સુન્ની ધર્મગુરુ અને જેન ઝી યુવાનોની લડાઈ હતી. આ ભૂખ્યા પેટ અને ભૂખલી આઝાદીનો બળવો હતો. જે ઈરાન ક્યારેય અમેરિકા કે ઈઝરાયલ સામે ઝુક્યું નથી, એ ઈરાન આજે ધાર્મિક સરકાર સામે પડ્યું છે. નમસ્કાર.... સ્વાભાવિક છે આપણને સવાલ થાય કે ગુજરાતથી 2500 કિલોમીટર દૂર આવેલા તહેરાનમાં દુકાનોના શટર પડે તો આપણે શું લેવાદેવા? તો સાંભળો, ઈરાન દુનિયાને તેલ આપતો દેશ છે. જેનાથી આપણી બાઈક અને ફોરવ્હીલ ચાલે છે. ઈરાન દુનિયાનો પાંચમો સૌથી મોટો ટાઈલ્સ બનાવતો દેશ છે. ત્યાં શટર પડે એટલે બની શકે કે ગલ્ફ દેશમાં મોરબીની ટાઈલ્સનો ડંકો વાગી શકે. જો આ આગ વધુ ફેલાય તો ગુજરાતની ફાર્મા કંપનીઓના કરોડો રૂપિયા પણ ફસાઈ શકે છે. માટે ગુજરાતમાં ઈરાનમાં સરકાર સામે થયેલા બળવાની અસરો થઈ શકે છે. ઈરાને પોતાનો ફાંસો જાતે બનાવ્યો દુનિયા જ્યારે વર્ષ 2026ના નવા વર્ષની આતશબાજીમાં મસ્ત હતું ત્યારે ઈરાનના આકાશમાં દુઃખના વાદળો છવાયેલા હતા. ધાર્મિક કટ્ટરવાદી અને રૂઢીસૂસ્ત ખૌમેની સરકાર સામે આજના સમયમાં ખાલી વિપક્ષે જ નહીં પણ આખું જેનઝી જનરેશન મેદાને ઉતર્યું છે. કારણ અમેરિકાની અવળચંડાઇ નહીં પણ ઈરાનની બરબાદ થયેલી ઈકોનોમી અને હાયપર ઈન્ફ્લેશન છે. હવે જેની વાત કરી રહ્યા છીએ તે ખૌમેની વિશે પણ થોડું જાણીએ. કોણ છે અયાતુલ્લા ખોમૈની? ગ્રાન્ડ બઝારની ચિન્ગારીએ 21 પ્રાંતો સળગાવ્યા 28 ડિસેમ્બરથી આજની 6 જાન્યુઆરી સુધીના દસેક દિવસોમાં ઈરાનનું રાજકીય ચિત્ર સાવ બદલાઈ ગયું છે. તેહરાનના ગ્રાન્ડ બઝારમાં લાગેલી વિરોધની ચિન્ગારીથી 31માંથી 21 પ્રાંતો વિરોધની જ્વાળામાં સળગી રહ્યા છે. તહેરાન, ઈમ્ફાલ અને શિરાઝની યુનિવર્સિટીઓમાં ક્લાસરૂમ ખાલી છે અને રસ્તાઓ ડેથ ટુ ડિક્ટેટરના નારાથી ગુંજી રહ્યા છે. અઝનામાં 15 વર્ષના બાળકના મૃત્યુએ લોકોમાં ભારે રોષ જગાડ્યો. મુસ્તફાના અંતિમ સંસ્કાર રેલી નહીં, પણ ક્રાંતિની જ્વાળા બની ગયા. ઈસ્લામિક સરકારનો અંતિમયાત્રાઓમાં પણ વિરોધ જોવા મળ્યો. લોકો ખામનેઈનું મૃત્યુ અને પહલવી પાછા આવશે જેવા સૂત્રો પોકારી રહ્યા છે. જે દેશ પહેલા ગાઝા અને લેબનોન માટે લડવાની અને મરવાની વાતો કરતા હતા તે આજે રસ્તાઓ પર ખુલ્લે આમ નારાઓ લગાવી રહ્યા છે. નો ગાઝા, નો લેબનોન, મારું જીવન ઈરાન માટે! ઈરાનના સર્વેસર્વા ધાર્મિક નેતા ખૌમેનીની વિદેશનીતિ, જેણે અબજો ડોલર પ્રોક્સી વોરમાં વાપર્યા, પણ હવે યુવાનો સમજી ગયા છે કે બીજાની ચિંતા કરવામાં ઘરના છોકરા ઘંટી ચાટી રહ્યા છે અને પાડોશીને આટો જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ વિદ્રોહ કંઈ રાતો રાત નથી જનમ્યો. આ આક્રોશ દાયકાઓના ધાર્મિક દમનનું પરિણામ છે. ઈરાનનું ખિસ્સું ફાટી ગયું! 4 જાન્યુઆરી રાતથી ઈરાન સરકારે સ્ટારલિંક કનેક્શન સિવાયના તમામ ઈન્ટરનેટ પ્રોટોકોલ્સ બંધ કરી દીધા છે. આનાથી તેહરાનનો સ્ટોક એક્સચેન્જ પણ અટવાઈ ગયો છે. બાઝારીઓ બેંક્સમાંથી રિયાલ ખેંચી રહ્યા છે અને ઈકોનોમિક વિદ્રોહ પણ કરી રહ્યા છે. જો કે સરકારે યુવાનોને વાતચીત માટે પણ પ્રયાસો કર્યા છે. કોઈપણ દેશની સત્તાની ચાવી તેના નાગરિકોના ખિસ્સામાં હોય છે. ઈરાનનું ખિસ્સું અત્યારે ફાટી ગયું છે. પણ આ હાલ બેહાલ કેવી રીતે થયા તે 3 ઉદાહરણ સાથે સમજીએ. 1) રિયાલની નનામી સત્તાવાર રીતે આજે ઈરાનમાં ફુગાવો 40 ટકા સુધી પહોંચી ગયો છે. વાસ્તવિક આંકડો લગભગ 60થી 80 ટકા સુધી કહેવામાં આવી રહ્યો છે. પરિણામે દૂધ, માંસ, દવાઓ સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં 80 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. 1 ડોલર સામે આપણા રૂપિયાની કિંમત 90 રૂપિયા આસપાસ છે તેવી રીતે 1 ડોલર સામે ઈરાની ચલણ રિયાલની કિંમત 15 લાખને પાર પહોંચી ગઈ છે. ટૂંકમાં 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ લેવા ઈરાનમાં 80 હજાર રિયાલનો થપ્પો કાઢવો પડે છે. કોઈ દેશ માટે આ પરિસ્થિતિ અતિ ભયાનક કહેવાય. 2) જેન-ઝી પ્રદર્શન અને પ્રતિબંધો 2024થી આજની તારીખ સુધીમાં દુનિયાના 13 દેશોમાં જેનઝી યુવાનો પ્રદર્શન કરીને સરકારને ખુલ્લો પડકાર ફેંકી ચૂક્યા છે. જેમાં ઈરાન પણ છે. ત્યાં ઈઝરાયલ, ગાઝા, લેબનોન અને ધર્મના મુદ્દાઓથી ત્યાં સરકાર ચાલે છે પણ આજે બધા જ મુદ્દાઓથી યુવાનો કંટાળી ગયા છે. જેનથી પ્રદર્શનકારીઓ નારા લગાવી રહ્યા છે. ટૂંકમાં ખોમેનીની વિદેશનીતિ અને રાજનીતિના યુવાનોએ ચીંથરેચીંથરા ઉડાવી દીધા છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધોને કારણે ઈરાન હાલ વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ SWIFTથી કપાયેલું છે. અમેરિકાના વિશ્વને આદેશો બાદ ઈરાનના તેલનું એક્સપોર્ટ પણ ઘટી ગયું છે, નિકાસના નાણા પણ દેશમાં પાછા લાવવા મુશ્કેલ છે. 3) ઈઝરાયલ-ઈરાન યુદ્ધ ઈઝરાયલ સાથેના 12 દિવસના યુદ્ધે ઈરાનના બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. આ કારણોસર વિદેશી રોકાણકારોનો ઈરાન પરથી વિશ્વાસ તૂટી ગયો છે. મધ્યમવર્ગના ઈરાનીઓ પોતાની સમજદારીનો ઉપયોગ કરીને સોનું અને ડોલર ખરીદીને દેશ છોડી રહ્યા છે. યુદ્ધના ખર્ચ અને પુનર્નિર્માણના બોજે ઈરાની તિજોરીઓ ખાલી કરી નાખી છે. શું આ અમેરિકાનું કાવતરું છે? ખૌમેનીના સમર્થકો કહે છે કે આ બધું અમેરિકાની અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ CIA અને મૌસાદનું કાવતરું છે. ચાલો, એક પળ માટે માની લઈએ કે એવું છે. પણ શું તેહરાનના બાઝારમાં બ્રેડ અને દૂધના ભાવ અમેરિકા નક્કી કરે છે? શું મોસાદ ઈરાનના મૌલવીઓના મનમાં સરકાર વિરોધી ઝેર ઓકી રહ્યું છે? જનતા ધર્મને પણ ઠુકરાવી દેશે? હકીકત એ છે કે હવે ઈરાનના ધર્મગુરુઓ પણ ડર્યા છે. શિયાના સુધારાવાદી મૌલવીઓ અને સુન્ની ધર્મગુરુ મૌલવી અબ્દુલહમીદ ખુલ્લેઆમ પ્રદર્શનકારીઓના પક્ષમાં આવ્યા છે. તેઓ જાણે છે કે જો તેઓ આ અત્યાચારી સરકારનો સાથ આપશે, તો જનતા ધર્મને પણ ઠુકરાવી દેશે. જ્યારે મસ્જિદ અને બઝાર બંને સત્તાની વિરુદ્ધ થાય, ત્યારે ખૌમેનીની વિદેશી કાવતરાની દલીલ પોકળ સાબિત થાય છે. ભારતે એડવાઈઝરી બહાર પાડી ભારતની વાત કરીઓ તો 5 જાન્યુઆરીએ આપણા વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ખાસ કરીને સિસ્તાન-ચાબહાર નજીક વિસ્તારમાં રહેતા ભારતીય એન્જિનિયરોને સાવચેત રહેવા જણાવાયું છે. પ્રતિક્રિયાની વાત કરીએ તો ન્યુટ્રલ ભારત હાલ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે, કારણ કે ઈરાન આપણું સ્ટ્રેટેજીક પાર્ટનર છે. પડદા પાછળ ભારતની ઈચ્છા છે કે ખાડી દેશોની અસ્થિરતા શાંત થાય કારણ કે જો એવું ન થાય તો ભારતની એનર્જી સિક્યોરિટી માટે ખતરો છે. એટલે ભારત માટે બે વસ્તુઓ મહત્વની છે: 12 હજાર ભારતીયો આજે પણ ઈરાનમાં વર્ષ 2024માં ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર ડેટા મુજબ ઈરાનમાં 10,320 ભારતીયો અભ્યાસ કે કામ કરતા હતા. મની કંટ્રોલના 3 જાન્યુઆરી 2026ના રિપોર્ટ મુજબ 10-12 હજાર ભારતીયો આજે પણ ઈરાનમાં રહે અને ભણે છે. જો તેમને કંઈ થાય તો ભારતની કેન્દ્ર સરકાર પર આંગળી ઉઠે. ઈરાન પાસે હોમુર્ઝની ચાવી પેટ્રોલ ડિઝલના એંગલથી પણ વાત કરીએ તો. ઈરાન પાસે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ચાવી છે. કારણ કે પર્સિયન ગલ્ફ અને અરબ સાગર જવા માટે આ જ એક વેપાર માર્ગ છે. દુનિયાનું 20 ટકા તેલ અહીંથી પસાર થાય છે. જામનગર કે દહેજની રિફાઈનરીમાં પણ અહીંથી જ તેલ આવતું હશે. જો ઈરાન આ રસ્તો બંધ કરવાની ધમકી આપે, તો દુનિયાભરમાં પેટ્રોલના ભાવ રાતોરાત બમણા થઈ શકે છે. ભલે ભારત ઈરાન પાસેથી તેલ નથી ખરીદતું, પણ જો હોર્મુઝ બંધ થાય તો સાઉદી અને UAEનું તેલ પણ ભારત આવતું અટકી જાય. ટૂંકમાં ઈરાનની ગલીઓમાં નીકળેલી જ્વાળા આપણા રસોડાના બજેટને પણ ખોરવી શકે છે. ભારત-ઈરાન અને ચાબહાર બંદર ઈરાનના સિસ્તાન પ્રાંતમાં ચાબહાર બંદર આવેલું છે. ભારત આ પોર્ટમાં અબજો ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. આ પોર્ટ ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ છે. હાલ ઈરાની વિદ્રોહીઓ નવી સરકારની માગ કરી રહ્યા છે, તેનાથી ચાબહાર બંદર મામલે શું ઓછા-વત્તા થશે તે જોવાનું રહેશે. મોરબી માટે મેદાન સાફ ઈરાન વિશ્વનો પાંચમો સૌથી મોટો ટાઈલ્સ ઉત્પાદક છે. સસ્તા નેચરલ ગેસને કારણે તેની ટાઈલ્સ ગલ્ફના દેશોમાં ખૂબ વેચાતી હતી. પણ હવે ઈરાનમાં ગેસ સપ્લાય અને લેબરની હડતાલને કારણે પ્રોડક્શન ઠપ છે. બની શકે કે આનો સીધો ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગને મળી શકે. આવનારા મહિનાઓમાં જો પરિસ્થિતિ વધુ તંગ થાય તો ગલ્ફ અને રશિયાના માર્કેટમાં મોરબીની ટાઈલ્સનો ડંકો વાગી શકે. અમદાવાદનું ફાર્મા સેક્ટર ગુજરાત ઈરાનને મોટા પાયે દવાઓ એક્સપોર્ટ કરે છે. ખાસ કરીને કેન્સર અને લાઈફ-સેવિંગ ડ્રગ્સ. પણ ઈરાની રિયાલના પતન અને બેંકિંગ પ્રતિબંધોને કારણે અમદાવાદના એક્સપોર્ટર્સના કરોડો રૂપિયા ફસાઈ શકે છે. આપણા ઘરનું બજેટ ખોરવાઈ શકે અંકલેશ્વર અને વાપીના કેમિકલ અને ડાઈ(Dye) ઉદ્યોગો ઈરાનમાં પોતાનું ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન મોકલે છે. જો ઈરાનનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર બંધ થાય, તો આ એક્સપોર્ટ પર બ્રેક લાગશે. બીજી બાજુ, જો પરિસ્થિતિ કંટ્રોલમાં ન આવે તો તેલના ભાવ વધવાની સંભાવના છે. જો આવું થાય તો ટ્રાન્સપોર્ટ મોંઘું થશે જેની અસર શાકભાજીથી લઈને તમામ જીવન જરૂરી વસ્તુઓ પર થઈ શકે છે. ભવિષ્યમાં કેવી અસરો થઈ શકે? ઈરાનની પરિસ્થિતિ એવી છે કે હાલ શાસન કદાચ આંદોલનને દબાવી પણ દે. જો આવું થાય તો સરકાર માટે સારું છે પણ વૈશ્વિક દ્રષ્ટિએ આ મુદ્દાને જોઈએ તો ડોલર સામે રિયાલનું 15 લાખનું મૂલ્ય ઓછું નહીં થાય. બનવા માટે એવું પણ બની શકે કે ખૌમેનીનો ઈરાનીઓ ખેલ પણ ખતમ કરી દે. જો આવું થાય તો માનવામાં આવી રહ્યું છે કે, વિરોધ કરનારા લોકો ધર્મનિરપેક્ષ લોકશાહી અથવા તો બંધારણીય રાજાશાહીનો માર્ગ પસંદ કરવાના છે. અને છેલ્લે... ઈરાનના જેન-ઝી મુવમેન્ટનો પડઘો ઈતિહાસના પાના વચ્ચે પણ સંભળાય છે. આજથી ઠીક 1 હજાર વર્ષ પહેલા આવું જ દમન ઈરાની ધરતી પર થયું હતું. ઈરાનમાં ઈસ્લામિક આક્રમણો અને સાસાની સામ્રાજ્યના પતન પછી ઈ.સ. 936માં પારસી લોકો પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ઈરાનથી ભાગીને ગુજરાતના દરિયાકાંઠે સંજાણ બંદરે આવ્યા હતા. અને ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળીને દેશની શાન બન્યા છે. આજે ફરી એકવાર ઈરાનનો યુવા વર્ગ ઈરાનની અંદર જ કટ્ટરવાદને દફનાવીને લોકતંત્રમાં ભળી જવા મથી રહ્યો છે. ઈતિહાસનું આ ચક્ર હવે કઈ દિશામાં કરશે, તે જોવું રસપ્રદ રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.(રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:55 pm

રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પૂર્વે સ્ટેડિયમમાં આતંકી હુમલો:હથિયારધારકોએ 3 મજૂરોને બંધક બનાવી 100 કરોડ અને કચ્છ બોર્ડરથી પાકિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરી, ચેતક કમાન્ડોએ આતંકીઓને ઠાર કર્યા અંતે મોકડ્રીલ જાહેર

રાજકોટના જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે મેચ રમાઈ એ પહેલા આજે સવારના સમયે અફરાતફરી મચી ગઈ હતી જેમાં એક કાળા કલરની સ્પોર્ટ્સ કાર પૂરઝડપે સ્ટેડિયમમાં ઘૂસી આવી હતી જે કારમાં સવાર ચાર હથિયારધારી શખ્સોએ સ્ટેડિયમમાં કામ કરી રહેલા ત્રણ મજૂરોને બંદૂકની અણીએ બંધક બનાવી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. આતંકીઓએ 100 કરોડ રૂપિયાની રોકડ રકમ અને કચ્છ બોર્ડરથી પાકિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. જો કે ચેતક કમાન્ડો અને રાજકોટ ગ્રામ્ય પોલીસ ટીમે સાથે મળી આતંકીઓને ઠાર કર્યા હતા અને પછી મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આતંકીઓ ઘુસ્યા હોવાની જાણ થતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક 'ચેતક કમાન્ડો'ની ટિમ અને રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટિમ દ્વારા સ્ટેડિયમને ચારેય તરફથી ઘેરી લીધું હતું. હવામાં થયેલા ધડાકાના અવાજો અને એમ્બ્યુલન્સની સાયરનો વચ્ચે કમાન્ડોએ અત્યંત ચપળતાથી સ્ટેડિયમમાં પ્રવેશ કરી ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન વહીવટી તંત્રના રૂરલ પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પીજીવીસીએલ, ફાયર ફાઈટર અને મેડિકલ ઈમરજન્સીની ટીમો પણ ઘટનાસ્થળે ખડેપગે તૈનાત કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી આ ખેંચતાણ બાદ સુરક્ષા દળોએ વ્યૂહરચના ગોઠવી આતંકીઓને ઠાર માર્યા હતા અને બંધકોને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા. ઓપરેશનના અંતે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે આ કોઈ વાસ્તવિક આતંકી હુમલો ન હતો પરંતુ સુરક્ષા સજ્જતા ચકાસવા માટે આયોજિત એક ‘મોકડ્રીલ’ હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન ચકાસવાનો હતો. આ સફળ ઓપરેશનમાં ચેતક કમાન્ડોના ડીવાયએસપી ડી.વી. ગોહિલ, રાજકોટ ગ્રામ્ય ડીવાયએસપી વિક્રમ વ્યાસ તથા કે.જી.ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જયારે વહીવટી તંત્ર તરફથી ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી અને પડધરી મામલતદાર કેતન સખીયા તેમજ પોલીસ વિભાગના અધિકારીઓમાં ચેતક કમાન્ડો ઓબ્ઝર્વર ધવલ પટેલ, પડધરી પી.આઈ એસ.એન. પરમાર, પી.એસ.આઈ. પી.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, QRT એ.બી. ચૌધરી, જે. જે. વાળા અને SOG પી.વી. મિશ્રાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તદુપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમોએ પરસ્પર સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:51 pm

સાબરકાંઠા જિલ્લામાં 120 પોલીસકર્મીઓની બદલી:જિલ્લા પોલીસવડા બદલીના આદેશ કર્યા, તાત્કાલિક અસરથી બદલીવાળા સ્થળે હાજર થવા સૂચના

સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્રમાં મંગળવારે મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને એએસઆઈ સહિતના 120 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો કર્યા છે. આ કર્મચારીઓ લાંબા સમયથી જુદા જુદા હોદ્દા પર ફરજ બજાવી રહ્યા હતા. જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે આ બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીઓ વહીવટી કારણોસર અને પોલીસકર્મીઓની કામગીરીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બદલી કરાયેલા કર્મચારીઓમાં પોલીસ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, ASI, હેડ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ બદલીઓ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, સાયબર ક્રાઈમ યુનિટ અને પોલીસવડા કચેરીના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડે છે. બદલી કરાયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી તેમના હાલના સ્થળેથી છૂટા કરીને નવા બદલીવાળા સ્થળે હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓને આ કાર્યવાહીની જાણ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. 120 પોલીસ કર્મચારીઓની બદલી લિસ્ટ 1 : અહીં ક્લિક કરો લિસ્ટ 2 : અહીં ક્લિક કરો લિસ્ટ 3 : અહીં ક્લિક કરો લિસ્ટ 4 : અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:33 pm

સુરતના 70 લાખના સાયબર ફ્રોડ કેસમાં ભાઈ-બહેનની ધરપકડ:હૈદરાબાદની IT કંપનીમાં નોકરી કરતી યુવતીએ, ચીની નાગરિકના કહેવાથી 430 સીમકાર્ડ રિચાર્જ કરાવી આપ્યા

સુરતના એન્જિનિયર સાથે થયેલા રૂ. 69, 79,800 ના સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર સેલે ભાઈ-બહેનની ધરપકડ કરી છે. હાઈ-પ્રોફાઈલ રેકેટના તાર સીધા કંબોડિયા અને ચીન સાથે જોડાયેલા છે. આ કેસની મુખ્ય આરોપી 40 વર્ષીય શ્રદ્ધા ગજભીયેની પ્રોફાઈલ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. તાઈવાનમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાઈનીઝ ભાષા પર મહારથ મેળવનાર આ મહિલા કોઈ કોર્પોરેટ લીડર બનવાને બદલે ચીની સાયબર માફિયાઓની ખાસ 'રિચાર્જ એજન્ટ' બની ગઈ હતી. ભારતની જ એક અત્યંત શિક્ષિત દીકરીનો ચીની સાયબર ઠગોએ મોહરા તરીકે ઉપયોગ કરતા હતા. 40 વર્ષીય શ્રદ્ધા ગજભીયે જે હૈદરાબાદમાં રહેતી હતી અને ચાઈનીઝ ભાષાની નિષ્ણાત હતી. તેની ધરપકડ બાદ સાયબર ફ્રોડની દુનિયાના એવા રહસ્યો ખુલ્યા છે જે કોઈ પણ સામાન્ય નાગરિકના હોશ ઉડાવી દે તેવા છે. આ કેસમાં માત્ર શ્રદ્ધા જ નહીં, પરંતુ તેના ફેશન ડિઝાઇનર ભાઈ નીલકાંતની પણ સંડોવણી બહાર આવી છે. ચાઈનીઝ ભાષાની જાણકાર હોવાના કારણે ચીની કંપનીમાં નોકરી મળીશ્રદ્ધાની શૈક્ષણિક પ્રોફાઇલ કોઈ પણ મોટી કોર્પોરેટ કંપનીને આકર્ષી શકે તેવી છે. ધોરણ 12 પાસ કર્યા બાદ શ્રદ્ધા સીધી તાઈવાન ગઈ હતી, જ્યાં તેણે ચાઈનીઝ ભાષાનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો. ભારત પરત આવ્યા બાદ તેણે સરગમ એટલે સંગીતમાં બી.એ. (બેચલર ઓફ આર્ટસ) પૂર્ણ કર્યું અને ફરીથી ચાઈનીઝ ભાષામાં ડિપ્લોમા મેળવ્યો. ભાષા પરની આ મહારથ જ તેને ચીની ઠગોની નજીક લઈ ગઈ, જેઓ ભારતીય લોકોને લૂંટવા માટે સ્થાનિક ભાષા અને વ્યવસ્થા સમજતા હોય તેવા લોકોની શોધમાં હતા. કંબોડિયા પહોંચી પછી ખબર પડી તે સાયબર ફ્રોડમાં ફસાઈ ચૂકી છે! આ આખી રમત ત્યારે શરૂ થઈ જ્યારે 'નોકરી ડોટ કોમ' પરથી શ્રદ્ધાની પ્રોફાઇલ કંબોડિયામાં કાર્યરત એક ચીની કંપની 'મેક્રો કોમ્પ્યુટિંગ સોલ્યુશન' સુધી પહોંચી. કંપનીએ શ્રદ્ધાનો સંપર્ક કર્યો અને તેની ભાષાની કસોટી લીધી. ટેસ્ટમાં પાસ થતા જ કંપનીએ તેને ચાઈનીઝ ટ્રાન્સલેટર તરીકે જોબ ઓફર કરી અને તેના વિઝા તેમજ એર ટિકિટ કરાવી તેને કંબોડિયા બોલાવી લીધી. શ્રદ્ધાને લાગ્યું કે આ એક મોટી તક છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. શ્રદ્ધા જ્યારે કંબોડિયા પહોંચી ત્યારે તેને ખબર પડી કે આ કોઈ સામાન્ય કંપની નથી પણ એક ‘સાયબર ફ્રોડ ફેક્ટરી’ છે. ત્યાં અલગ-અલગ વિભાગો બનાવવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન ભારત અને અન્ય એશિયાઈ દેશોના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા, જ્યારે રાત્રિના સમયે અમેરિકામાં છેતરપિંડી આચરવા માટે સ્ટાફ કાર્યરત રહેતો હતો. શ્રદ્ધાએ જોયું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અવાજ બદલીને લોકો સાથે હની-ટ્રેપ, ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવતા હતા. કંબોડિયામાં શ્રદ્ધાનું કામ ટ્રાન્સલેટર તરીકેનું હતું. ભારતીય સહિત પાકિસ્તાન, શ્રીલંકાના કર્મચારીઓ શું કામ કરી રહ્યા છે તે જોઈને તેને ચીની મેનેજરને રિપોર્ટિંગ કરવાનું હતું. જોકે, ત્યાંનું વાતાવરણ માફક ન આવતા શ્રદ્ધા બે મહિનામાં ભારત પરત આવી ગઈ હતી. પરંતુ, ભારત આવ્યા પછી પણ તેના સંપર્કો ચાલુ રહ્યા હતા. ચીની નાગરિક 'લીછમ'ના કહેવાથી ભાઈ-બહેને 2 દિવસમાં 430 સીમકાર્ડ રિચાર્જ કર્યાકંબોડિયામાં તેની મુલાકાત 'લીછમ' નામના એક ચીની મેનેજર સાથે થઈ હતી, જે આ આખા ફ્રોડ નેટવર્કનો મહત્વનો હિસ્સો હતો. ભારત પરત આવ્યા પછી લીછમે શ્રદ્ધાનો સંપર્ક સાધ્યો. લીછમે શ્રદ્ધાને જણાવ્યું કે તેમને ભારતમાં રહેલા તેમના સીમકાર્ડ્સ એક્ટિવ રાખવા માટે રિચાર્જની જરૂર છે. શ્રદ્ધાએ આ કામ સ્વીકાર્યું અને માત્ર બે જ દિવસમાં 430 જેટલા સીમકાર્ડ્સમાં રિચાર્જ કરી નાખ્યું. આ કોઈ સામાન્ય સીમકાર્ડ નહોતા, પણ એ જ નંબરો હતા જેના દ્વારા ભારતના સેંકડો લોકોને ફોન કરીને લૂંટવામાં આવી રહ્યા હતા. શ્રદ્ધાએ આ કામમાં તેના ભાઈ નીલકાંતને પણ સામેલ કર્યો. નીલકાંત નાગપુરમાં ફેશન ડિઝાઇનિંગનું કામ કરતો હતો. લીછમે સીમકાર્ડ રિચાર્જ કરવા માટે પૈસા નીલકાંતના એસ.બી.આઈ. બેંકના ખાતામાં મોકલ્યા હતા. કુલ 1.72 લાખ રૂપિયામાંથી 1.29 લાખના રિચાર્જ થયા અને બાકીના 43 હજાર રૂપિયા શ્રદ્ધા અને તેના ભાઈએ કમિશન તરીકે મેળવ્યા. આ પૈસા હકીકતમાં સુરતના એક એન્જિનિયર સાથે થયેલી છેતરપિંડીના હતા. સુરતનો એન્જિનિયર યુવક કઈ રીતે સાયબર ફ્રોડનો શિકાર બન્યો?સુરતના ભોગ બનનાર એન્જિનિયરની વાત કરીએ તો, ફેસબુક પર તેમની મુલાકાત 'શીલા શેટ્ટી' નામની એક મહિલા સાથે થઈ હતી. શીલાએ પોતાની ઓળખ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસમેન તરીકે આપી હતી અને એન્જિનિયરને ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરી મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. એન્જિનિયરે વિશ્વાસમાં આવીને પાંચ મહિનામાં 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા.જ્યારે એન્જિનિયરે પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે ઠગોએ ટેક્સ ભરવાના નામે વધુ 21 લાખ પડાવ્યા. એટલું જ નહીં, જ્યારે એન્જિનિયરે માતાની બીમારીનું કારણ આપી પૈસા વિડ્રો કરવા માટે આજીજી કરી, ત્યારે 'માર્જિન મની' પે કરવાના નામે ફરી 20 લાખ ભરાવ્યા. આમ, કુલ મળીને એન્જિનિયર પાસેથી 69,76,800 રૂપિયા પડાવી લેવામાં આવ્યા અને તેને એક રૂપિયો પણ પરત મળ્યો નહીં. હૈદ્રાબાદ અને નાગપુરમાં સુરત પોલીસે દરોડા પાડીને બંનેને ઝડપ્યા, ડીસીપીસાયબર સેલના ડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું કે આ ફ્રોડના પૈસા દિલ્હીના એક ખાતામાં ગયા હતા અને ત્યાંથી શ્રદ્ધાની નાગપુર સ્થિત કંપની 'એસેન્સ' ના ખાતામાં પહોંચ્યા હતા. શ્રદ્ધા આ કંપનીની ડિરેક્ટર હતી. જ્યારે સાયબર પોલીસે શ્રદ્ધાની શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે તે હાલમાં હૈદરાબાદમાં એક આઇટી કંપનીમાં નોકરી કરી રહી છે. સુરત પોલીસની ટીમે હૈદરાબાદ અને નાગપુરમાં દરોડા પાડીને બંને ભાઈ-બહેનને ની ધરપકડ કરવામાં આવી છે, શ્રદ્ધા ચાઇનીસ કંપની માટે નોકરી કરી ચૂકી છે. શ્રદ્ધાએ પોલીસને જણાવ્યું કે તે સીધી રીતે ફ્રોડ નથી કરતી, પણ ચાઈનીઝ મેનેજરના કહેવા પર માત્ર રિચાર્જ કરી આપતી હતી. જોકે, પોલીસનું માનવું છે કે શ્રદ્ધા જેવી શિક્ષિત વ્યક્તિને ખબર જ હોય કે 430 સીમકાર્ડ શા માટે રિચાર્જ કરવામાં આવે છે. શ્રદ્ધા દ્વારા રિચાર્જ કરાયેલા નંબરોને જ્યારે NCCRP પોર્ટલ પર તપાસવામાં આવ્યા, ત્યારે જાણવા મળ્યું કે આ નંબરો દ્વારા દેશભરમાં 34 થી વધુ છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે.આ કેસમાં સૌથી ચોંકાવનારો પક્ષ એ છે કે શ્રદ્ધા જેવી વ્યક્તિઓ કેવી રીતે ચીની કંપનીઓના હાથનું રમકડું બની જાય છે. શ્રદ્ધાએ કબૂલ્યું કે, કંબોડિયામાં શ્રદ્ધાએ ફ્રોડ વેબસાઇટ્સ અને AI ટેકનોલોજીનો ઉપયોગ થતા જોયો હતો. તે જાણતી હતી કે તેની કંપની ભારતીયોને લૂંટી રહી છે, તેમ છતાં કમિશનની લાલચમાં તેણે ભારત આવ્યા પછી પણ તેમનું કામ ચાલુ રાખ્યું. નીલકાંતની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. એક ફેશન ડિઝાઇનર હોવા છતાં તેણે તેના બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદે ટ્રાન્ઝેક્શન માટે થવા દીધો. પોલીસે બંને પાસેથી મોબાઈલ અને બેંક ખાતાની વિગતો કબજે કરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શ્રદ્ધા જે કંપનીમાં કામ કરતી હતી તેના તાર સીધા કંબોડિયા અને ચીન સાથે જોડાયેલા છે, જે ભારતની આંતરિક સુરક્ષા માટે ગંભીર પ્રશ્ન છે. ભાઈ-બહેનના ચાર દિવસના રિમાન્ડ મંજૂરસુરત સાયબર સેલે હાલમાં બંને આરોપીઓના 4 દિવસના પોલીસ રિમાંડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શ્રદ્ધાએ અત્યાર સુધીમાં બીજા કેટલા લોકોને આ જાળમાં ફસાવ્યા છે અને શું તે અન્ય કોઈ મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાગ છે? શું તેની 'એસેન્સ' કંપની માત્ર કાગળ પર જ હતી કે તેનો ઉપયોગ હવાલાના પૈસાની હેરફેર માટે થતો હતો?

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:29 pm

બે વોર્ડમાં પાણી વિતરણ મોડું:રાજકોટનાં રૈયાધાર એસ.ટી.પી. પાસે વાલ્વ ખરાબ થતા બે વોર્ડમાં પાણી વિતરણ ખોરવાયું, મેઈન વાલ્વ લીકેજ હોય તુરંત સમારકામ કરાયું

રાજકોટ મનપા દ્વારા એક તરફ ડીઆઈ પાઈપલાઈનની કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ધીમા દબાણે પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે બીજી તરફ આજે વેસ્ટઝોનના રૈયાધાર વિસ્તારમાં આવેલા એસ.ટી.પી. પાસે પાણી વિતરણનો મેઈન વાલ્વ ખરાબ થઈ જતાં બે વોર્ડમાં પાણી વિતરણ ખોરવાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વેસ્ટઝોન વિસ્તારમાં રૈયાધાર એસ.ટી.પી. પાસે પાણી વિતરણનો મેઈન વાલ્વ લીકેજ થતાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ મોડું થયું હતું. સવારના સમયે જ્યાં પાણી વિતરણ કરવામાં આવે છે તેવા વોર્ડ નં. 1 ના ગાંધીગ્રામ સહિતના અનેક વિસ્તારો અને વોર્ડ નં. 10 ના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં નિયત સમયે પાણી વિતરણ કરી શકાયું નહોતું. મનપા વેસ્ટઝોનની વોટરવર્કસ શાખાની ટીમ દ્વારા વાલ્વની રીપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે વાલ્વ લીકેજ થવાને કારણે વોર્ડ નં. 1 અને વોર્ડ નં. 10 ના વિસ્તારોમાં ટાઈમટેબલ કરતાં અંદાજે 4 કલાક મોડું પાણી વિતરણ થયું હતું. 31 જાન્યુઆરી સુધીમાં મિલકતો જાહેર નહીં કરનાર મનપાનાં કર્મચારીઓનો પગાર અટકશે રાજકોટ કોર્પોરેશનના વર્ગ-1થી 3નાં કર્મચારીઓએ 31 જાન્યુઆરી સુધીમાં પોતાની સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો ઓનલાઇન પોર્ટલ પર ફરજિયાત જાહેર કરવી પડશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂંક નિયમો-1971ના નિયમ-19 હેઠળ એક મહત્વનો આદેશ જારી કર્યો છે. જે મુજબ રાજકોટ સહિતની તમામ મહાપાલિકાઓ અને સરકારી વિભાગોના વર્ગ-1થી 3 ના કર્મચારીઓએ કેલેન્ડર વર્ષ-2025 દરમિયાનની પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતોનું પત્રક 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન અપલોડ કરવાનું રહેશે. જો નિયત સમયમાં મિલકતોની વિગતો જાહેર કરવામાં નહીં આવે તો આવા કર્મચારી કે અધિકારીનો પગાર અટકાવવાની કડક સૂચના આપવામાં આવી છે. વર્ષ 2010થી અમલી આ નિયમમાં અત્યાર સુધી અનેક અધિકારીઓ બેદરકારી દાખવતા હતા, પરંતુ આ વખતે સરકારે માર્ગદર્શિકા સાથે કડક વલણ અપનાવ્યું છે. કર્મચારીઓએ તેમના નામે રહેલા મકાન, જમીન, વાહન, સોનું, શેરબજાર કે અન્ય રોકાણોની વિગતો આપવી પડશે. આ પ્રક્રિયાથી સરકાર પાસે કર્મચારીઓની મિલકતમાં થતા વધારા-ઘટાડાનો સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ થશે. રાજકોટમાં પાણીની સુવિધા વધશે: આજી અને ન્યારી ડેમ પાસે નવા ફિલ્ટર પ્લાન્ટ બનશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિસ્તરણ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બે નવા મોટા ફિલ્ટર પ્લાન્ટ બનાવવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ આજી ડેમ પાસે 75 MLD અને ન્યારી ડેમ પાસે 50 MLDની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આજી ડેમ પાસેનો હયાત 45 MLDનો પ્લાન્ટ 1958માં બનેલો હોવાથી તે જર્જરિત બન્યો છે, જેને તોડીને નવો પ્લાન્ટ તૈયાર કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે. આ નવા પ્લાન્ટની મદદથી અંદાજે 65 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે. આ નવા આયોજનથી કોઠારીયા, વાવડી, લાલપરી, રાંદરડા અને નવા ભળેલા વિસ્તારો જેવા કે ઘંટેશ્વર, મનહરપુર, માધાપર અને એઈમ્સ વિસ્તારને નિયમિત 20 મિનિટ પાણી વિતરણ કરી શકાશે. હાલમાં રાજકોટમાં ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા 400 MLD છે, જેની સામે દરરોજ 415 થી 420 MLD પાણીનું વિતરણ થાય છે. આગામી 20 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને આ રૂ. કરોડોના પ્રોજેક્ટ્સ સ્માર્ટસિટી અને નવા રિંગ રોડના રહેવાસીઓ માટે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:27 pm

સરસાણામાં દેશનો સૌથી મોટો 'સીટમે-2026' એક્ષ્પો યોજાશે:ભારતની પ્રથમ 'પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી' અને 'બીડ્‌સ નાયલોન તાર' લોન્ચ કરાશે, હેન્ડવર્ક જેવું ફિનિશિંગ મશીન પર મળશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગામી 9થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો-સીટમે 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00થી સાંજે 7:00 વાગ્યા દરમિયાન યોજાનારા આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી અને મશીનરીઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે, જે સુરતની ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇનને વધુ મજબૂત બનાવશે. એમ્બોઇડરી મશીનરી માટે ખાસ 'બીડ્‌સ નાયલોન તાર' લોન્ચ કરાશેઆ એક્ષ્પોની સૌથી મોટી વિશેષતાએ છે કે તેમાં ભારતભરમાં પ્રથમ વખત એમ્બોઇડરી મશીનરી માટે ખાસ બનાવેલા 'બીડ્‌સ નાયલોન તાર' લોન્ચ કરવામાં આવશે. આ તારની ખાસિયત એ છે કે 85,000 મીટરની લંબાઈમાં એક પણ ગાંઠ (નોટ) આવતી નથી, જેના કારણે મશીનરી પર સતત બે મહિના સુધી કોન બદલવાની જરૂર રહેતી નથી. સામાન્ય તારમાં વારંવાર ગાંઠ પડતી હોવાથી જે ઉત્પાદન ખોરવાય છે, તેની સામે આ નવીન તાર ટેક્ષ્ટાઇલ એકમોમાં ઉત્પાદન ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. સુરતના રિયલ ફેબ્રિકની સાચી ઓળખ દેશ-વિદેશમાં થશેચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરત હવે MSME હબ તરીકે વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. આ એક્ષ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન દ્વારા તૈયાર થયેલા ફેબ્રિકને આંતરરાષ્ટ્રીય બજારમાં એક મજબૂત બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. એમ્બ્રોઇડરી અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરીના ઉપયોગથી મેન્યુફેકચરર્સ અને ટ્રેડર્સ બંનેને વધુ સારું માર્જિન પ્રાપ્ત થશે અને સુરતના રિયલ ફેબ્રિકની સાચી ઓળખ દેશ-વિદેશમાં થશે. 'પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી' પણ પ્રથમ વખત લોન્ચ કરાશેસીટમે-2026માં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સમાન 'પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી' પણ પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી જે કામ હેન્ડ વર્ક કે ખાટલી વર્ક દ્વારા કરવામાં આવતું હતું, તે હવે આ એડવાન્સ મશીનરી દ્વારા શક્ય બનશે. આ મશીનરી પોઝીશન પ્રિન્ટીંગ, જેકાર્ડ અને શિફલી જેવા સેગમેન્ટના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, સિંગલ હેડ મશીન પર 'માયા જરદોશી ડિવાઇસ'નો લાઇવ ડેમો પણ રજૂ કરાશે, જે 4 મીમીથી 11 મીમી સુધી ઓટો કટિંગ કરીને પરંપરાગત જરદોશી કામને ઓટોમેટીક બનાવશે. ગારમેન્ટ હબ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુંસુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ મનોહર ટેકચંદાની અને જોઇન્ટ સેક્રેટરી સંજય ઝાએ ઉમેર્યું હતું કે, અગાઉના વર્ષોમાં સીટમેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષે પ્રદર્શનમાં હાઇસ્પીડ મશીનો પ્રદર્શિત કરાશે, જે સુરતને ગારમેન્ટ હબ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ઉદ્યોગ સાહસિકો માટે આ એક સુવર્ણ તક છે જ્યાં તેઓ નવી ટેકનોલોજી અપનાવી પોતાની ગુણવત્તા અને વ્યવસાયિક વિકાસમાં નોંધપાત્ર વધારો કરી શકશે. અલગ અલગ શહેરોના 66 જેટલા એક્ઝિબીટર્સે ભાગ લીધોએક્ષ્પોના સંચાલન અંગે વિગતો આપતા ઓલ એક્ઝિબિશન ચેરમેન કિરણ ઠુંમરે જણાવ્યું કે, સરસાણાના વિશાળ ડોમમાં આયોજિત આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, દિલ્હી, પૂણે અને રાજકોટ જેવા શહેરોના 66 જેટલા એક્ઝિબીટર્સે ભાગ લીધો છે. પ્રદર્શનમાં માત્ર મશીનરી જ નહીં, પણ તેના સ્પેરપાર્ટ્સ, વિવિધ પ્રકારના દોરા, બીડ્‌સ અને નવીન ડિઝાઇનો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રદર્શનમાં બાયર્સ અને સેલર્સ વચ્ચે સીધો સંવાદ થાય તે માટે વિશેષ નેટવર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 12 હજાર બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યુંસીટમે-2026 માટે અત્યાર સુધીમાં દેશભરના વિવિધ શહેરો જેવા કે હૈદરાબાદ, કોલકાતા, જયપુર અને વારાણસીથી અંદાજે 12 હજાર બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આયોજકોને આશા છે કે ચાર દિવસ દરમિયાન 25 હજારથી વધુ મુલાકાતીઓ આ પ્રદર્શનનો લાભ લેશે. ઉદ્યોગ જગતની સુવિધા માટે આ એક્ઝિબિશનમાં પ્રવેશ તદ્દન વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે, જે સુરતની અર્થવ્યવસ્થાને વધુ વેગ આપવાનું કામ કરશે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:23 pm

ટાઈફોઈડનો રાફડો ફાટતાં CMએ મ્યુનિ.કમિશનરનો ક્લાસ લીધો:સમીક્ષા બેઠકમાં તાત્કાલિક લીકેજ રિપેર કરવા કડક સૂચના આપી, કહ્યું-દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડો

ગાંધીનગર શહેરમાં બેફામ બનેલા ટાઈફોઈડ રોગચાળાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓનો ઉધડો લીધો હતો કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવું. પાણીની પાઈપલાઈનમાં થતા લીકેજને તાત્કાલિક રીપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ મ્યુનિ. કમિશનરને ઝાટક્યામુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને પણ ઝાટક્યા હતા. આ ઝાટકણી કાઢી છે તે દર્શાવે છે કે હવે રાજ્ય સરકાર પણ સ્વીકારી રહી છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરી સંતોષકારક નથી. જૂન 2025માં અમિત શાહે સુધારા લાવવા આદેશો કર્યા હતાઆ પહેલાં ગાંધીનગરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતી નબળી કામગીરી સંદર્ભે જૂન 2025 માં 'દિશા' બેઠક દરમિયાન અમિત શાહે સ્પષ્ટપણે ડિસેમ્બર સુધીમાં સુધારા લાવવા આદેશ આપ્યો હતો. છતાં નક્કર આયોજનના અભાવે આજે પરિસ્થિતિ વધુ વણસી છે.​પીવાના પાણીના સાથે દૂષિત ગટરના પાણી મિક્સ થતા પાણીમાં પ્રદૂષણ ફેલાયું હોવાની શક્યતા છે, જે ટાઈફોઈડના વધતા કેસો માટે જવાબદાર હોય શકે છે. 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કર્યુંગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં આપતા કહ્યું કે, હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ઓ.આર.એસ. પેકેટનું પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું છે. લીકેજીસના રિપેરીંગ કામ હાથ ધરાયા છે. તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે. ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણમુખ્યમંત્રીએ પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકાવવાના સઘન ઉપાયરૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:04 pm

બોરડીયાલાના લોકોની હડાદના બદલે દાંતા તાલુકામાં રહેવાની માગ:કલેક્ટરને આદનપત્ર પાઠવ્યું, માંગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી

બનાસકાંઠા જિલ્લાના બોરડીયાલા ગામના લોકોએ તેમના ગામને દાંતા તાલુકામાં જ રાખવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે ગામલોકોએ દાંતા પ્રાંત અધિકારી અને પાલનપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં નવા વાવ અને થરાદ જિલ્લાના નિર્માણ સાથે દાંતા તાલુકામાંથી કેટલાક ગામોનું વિભાજન કરીને નવો હડાદ તાલુકો બનાવવામાં આવ્યો છે. બોરડીયાલા ગામનો સમાવેશ આ નવા હડાદ તાલુકામાં કરવામાં આવ્યો છે. જોકે, બોરડીયાલા ગામના લોકો તેમના ગામને દાંતા તાલુકામાં જ સમાવિષ્ટ કરવાની માંગ સાથે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે. આજે આ માંગણીને લઈને ગામના લોકો એકઠા થઈને સૌપ્રથમ દાંતા પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ત્યારબાદ, એકત્રિત થયેલા ગામલોકો પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બોરડીયાલા ગામને દાંતા તાલુકામાં જ રાખવાની માંગ દોહરાવી હતી. ગામલોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:03 pm

ઓફિસ આવતા-જતાં કર્મચારીઓને દંડ!:નવા સચિવાલયના દરેક ગેટ પર ટ્રાફિક પોલીસની કડક ચેકિંગ ડ્રાઈવ, સરકારી કેન્દ્રોમાં સુરક્ષા અને શિસ્ત જાળવવા કડક કાર્યવાહી જરૂરી

ગાંધીનગરના નવા સચિવાલય ખાતે ટ્રાફિક નિયમોના કડક અમલ માટે ગાંધીનગર પોલીસે તમામ ગેટ પર સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન બ્લેકફિલ્મ લગાવેલા વાહનો, સીટબેલ્ટના પહેરનાર કારચાલકો તેમજ હેલ્મેટ વિના દ્વિચક્ર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સ્થળ પર જ દંડ ફટકાર્યોપોલીસ દ્વારા આ ડ્રાઈવ આજે સવારે ઓફિસ શરૂ થવાના સમયે તેમજ સાંજે ઓફિસ છુટવાના સમયે યોજાઈ હતી. ખાસ કરીને સચિવાલયમાં આવતાં-જતાં સરકારી કર્મચારીઓ અને મુલાકાતીઓને ધ્યાનમાં રાખી તમામ એન્ટ્રી ગેટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસની ટીમોએ વાહનો અટકાવી દસ્તાવેજોની તપાસ કરી અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સ્થળ પર જ દંડ ફટકાર્યો. સરકારી કેન્દ્રોમાં સુરક્ષા અને શિસ્ત જળવાય તે માટે કડક કાર્યવાહી જરૂરીપોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગ સુરક્ષા અને અકસ્માતોમાં ઘટાડો લાવવાના હેતુથી આવી ડ્રાઈવ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે અને સચિવાલય જેવા મહત્વના સરકારી કેન્દ્રોમાં સુરક્ષા અને શિસ્ત જળવાય તે માટે કડક કાર્યવાહી જરૂરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવના કારણે થોડા સમય માટે ગેટ પાસે ટ્રાફિકમાં ધીમી ગતિ જોવા મળી હતી, પરંતુ મોટાભાગના કર્મચારીઓએ કાર્યવાહીનું સમર્થન કરી નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:01 pm

નસવાડીના પલાસણી ગામે પાણીના સંપમાંથી મૃત ગરોળી-કાચિંડો મળ્યા:લોકોના આરોગ્ય સામે ગંભીર સવાલો, તંત્રની બેદરકારી

નસવાડી તાલુકાના પલાસણી ગામના પીવાના પાણીના સંપમાંથી મૃત ગરોળી અને કાચિંડો મળી આવ્યા છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં પાણીની ગુણવત્તા અને આરોગ્ય સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યાપી છે. તાલુકા પંચાયતના એક સભ્યએ સંપની તપાસ કરતા આ મૃત જીવો જોવા મળ્યા હતા. તેમણે જાતે જ સંપમાંથી મૃત ગરોળી અને કાચિંડાને બહાર કાઢ્યા હતા. સ્થાનિકોના મતે, લાંબા સમયથી પાણીની ગુણવત્તા અંગે કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી, જેના કારણે આવા જોખમો ઊભા થયા છે. આ ઘટના તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. આ ઉપરાંત, ગામમાં આવેલા અન્ય ફિલ્ટર પાણીના સંપમાંથી સતત પાણીનો વેડફાટ થતો હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેનાથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. આવી બેદરકારીને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાની આશંકા છે. ગ્રામજનો દ્વારા સંપની નિયમિત સફાઈ અને પાણીની ગુણવત્તા ચકાસણી માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 7:00 pm

હત્યા કે આત્મહત્યા અંગે પોલીસ તપાસ શરૂ:ત્રણ દિવસથી ભાઈનો સંપર્ક ન થતા બહેન ઘરે પહોંચી તો ભાઈની અગાસી પર લોહીથી લથપથ હાલતમાં લાશ મળી

રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં આવેલ બાબજી એવન્યુ નામની બિલ્ડીંગની અગાસી પરથી 40 વર્ષીય વ્હોરા યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી જેમાં મૃતદેહ નજીકથી એક નાની છરી પણ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના ભોમેશ્વર શેરી નં.8માં આવેલ બાબજી એવન્યુના પાંચમા માળેથી આજે સવારે એક લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસની સાથે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ પણ દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મૃતકનું નામ અબ્બાસભાઈ યુસુબભાઈ મર્ચન્ટ (ઉ.વ.40) હોવાનું સામે આવ્યું હતું. તેઓ બે ભાઈ એક બહેનમાં મોટા હતાં અને ઢેબર રોડ પર દરજીની દુકાન ચલાવતાં હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી લાશ મળી એ જ ફ્લેટમાં ચોથા માળે મૃતક 402 નંબરના ફ્લેટમાં એકલાં રહેતાં હતા. છેલ્લા ત્રણેક દિવસથી તેમનો સંપર્ક ન થતાં તેમના બહેન તપાસ કરવા ઘરે આવ્યાં હતાં તે દરમિયાન બનાવની જાણ થઈ હતી. મૃતકની લાશ પાસેથી પોલીસને એક છરી મળી આવી હતી અને ગળા તેમજ છાતીના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી ડોગ સ્ક્વોડ અને FSLને જાણ કરી બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત યુવકના ઘર પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને ત્યાં કોઈ સ્યુસાઇડનોટ લખીને રાખી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ હાથ ધરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી સીસીટીવી ફૂટેજ અને પાડોશીઓની પુછતાછ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 6:54 pm

મંજુસર GIDCમાં ચોર ટોળકી ત્રાટકી:ખાનગી કંપનીમાં કોપર કોઇલ અને એલ્યુમિનિયમના બોબીન સહિત રૂ. 6.72 લાખના મુદ્દામાલની ચોરી, બે ચોર CCTVમાં કેદ

વડોદરા નજીક આવેલ મંજુસર GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં મોડી રાત્રિના સમયે બારીની ગ્રીલ તોડીને બે તસ્કર પ્રવેશ્યા હતા. કોપરની કોઈલ, કોપરની પ્લાસ્ટીકની બોબિન અને એલ્યુમિનિયમની બોબિન મળીને કુલ 6.72 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી પલાયન થઈ ગયા હતાં. જેથી કંપનીના માલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTVમાં કેદ થયેલા તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અધ્યાપકનગરમાં રહેતા સુરેશચંદ્ર બોદનલાલ જૈને મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે છે કે, વર્ષ 2010થી મંજુસર જીઆઈડીસીમાં એનજેએ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવે છે. છેલ્લા બે વર્ષથી અલીન્દ્રા ગામની સીમમાં મે મારી કંપનીનુ બીજુ યુનિટ શરૂ કર્યું છે. અમારી કંપનીમાં અલગ-અલગ પ્રકારના ટ્રાન્સફોર્મર બનાવવામાં આવે છે. જે ટ્રાન્સફોર્મર બનાવવા માટે રોમટીરીયલ તરીકે કોપ૨, એલ્યુમિનિયમ, સીઆરજીઓ, સ્ટીલ, ઓઈલ, અલગ-અલગ પ્રકારના ઈન્સ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. 15 ડિસેમ્બરના રોજ હું આખો દિવસ મારી કંપનીના યુનિટ-1 પર મારા કામ અર્થે રોકાયો હતો અને સાંજના 7.30 વાગે કંપની પરથી હું મારા ઘરે ગયો હતો અને તે પછી બીજા દિવસે હું મારા ઘરે હાજર હતો. તે વખતે સવારે 11 વાગે મારા દિકરા અખિલનો મને ફોન આવ્યો અને તેણે મને જણાવ્યું હતું કે, આપણી કંપનીના યુનિટ-2 ના વાઈન્ડીંગ એરીયાની પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તૂટેલ હાલતમાં છે અને ચોરી થઈ હોય તેવુ લાગે છે. હું તાત્કાલિક મારા ઘરેથી નીકળીને અમારી કંપનીના યુનિટ-2 ખાતે આવી કંપનીના વાઈન્ડીંગ એરીયાની પાછળના ભાગે બારીની ગ્રીલ તૂટેલી હતી અને તે પછી અમે કંપનીના માણસો સાથે માલસામાનની ચકાસણી કરાવતા અને કંપનીમાં લગાવેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા 15 ડિસેમ્બરની રાત્રીના આશરે સવા એક વાગ્યાના સુમારે બે અજાણ્યા શખ્સ વાઇન્ડીંગ એરીયાની પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી કંપનીની અંદર આવતા જણાય છે અને તેઓ અમારી કંપનીના વાઈન્ડીંગ એરીયામાં કોપરની કોઈલ આશરે નંગ 13 કોપરની પ્લાસ્ટીકની બોબિન નંગ 7 તથા એલ્યુમિનિયમના બોબિન આશરે નંગ 8 ની ચોરી કરતા જણાઈ આવ્યા હતાં. મે અમારી કંપનીના કર્મચારીઓ મારફતે કંપનીના પાછળના ભાગેથી આજુબાજુમાં તપાસ કરાવતા કોઈ ચીજવસ્તુ મળી આવી નહોતી. ત્યારબાદ કંપનીમાં ચોરી થયેલ માલની ગણતરી કરતા 6 લાખ રૂપિયાની કિંમતની કોપરની કોઈલ તથા કોપરની પ્લાસ્ટીકની બોબિન નંગ- 20 તથા 72 હજાર રૂપિયાની કિંમતન એલ્યુમિનિયમના બોબિન કુલ નંગ-8 મળીને કુલ રૂ.6.72 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. જોકે કંપનીમાં લગાવેલા CCTVમાં ચોરી કરવા આવેલા બે તસ્કર કેદ થઈ ગયા હતા, જેથી મંજૂસર પોલીસે CCTV ફૂટેજના આધારે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 6:50 pm

સાસરિયાનો ત્રાસ બન્યો મહિલા માટે કાળ,:નોંઝણવાવમાં પરિણીતાના આપઘાતમાં મોટો વળાંક; બીમારીથી કંટાળ્યાનું નાટક કરી સાસરિયાએ પાપ છુપાવ્યું, પોલીસે પતિ સહિત 4 આરોપીઓને જેલભેગા કર્યા.​

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નોંઝણવાવ ગામે ગત 29 ડિસેમ્બરના રોજ 35 વર્ષીય પરિણીતા ચેતનાબેન ઉર્ફે સોનલબેન જાદવના આપઘાત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ મૃતકની માતાએ પોલીસ સમક્ષ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે. કેશોદ પોલીસે આ મામલે મૃતકના પતિ સહિત પાંચ લોકો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બીમારીનું કારણ આપી સાસરિયાએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો ​ઘટનાની વિગતો મુજબ, ચેતનાબેને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ત્યારે સાસરિયા પક્ષ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમને 'સીરસ'ની ગંભીર બીમારી હતી. શરીરમાં અસહ્ય ખંજવાળ આવતી હોવાથી તેઓ કંટાળી ગયા હતા અને આ બીમારીના કારણે જ તેમણે આપઘાત કર્યો છે. જોકે, આ વાત મૃતકના પિયર પક્ષને ગળે ઉતરી ન હતી. મૃતકના માતા લક્ષ્મીબેને આક્ષેપ કર્યો છે કે બીમારી તો માત્ર બહાનું છે, હકીકતમાં તેમની દીકરીને સાસરિયાઓએ મરવા માટે મજબૂર કરી હતી. પોલીસ તપાસમાં પણ હવે સામે આવ્યું છે કે સતત મળતા મેણા-ટોણા અને ત્રાસ આ ઘટનાનું મુખ્ય કારણ છે. વર્ષોથી મળતો શારીરિક ત્રાસ: એકવાર તો હાથ પણ ભાંગી નાખ્યો હતો ​કેશોદ એસપી બી.સી. ઠક્કરે આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક સોનલબેનના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર તથા પુત્રી છે. ફરિયાદ મુજબ, સોનલબેનનો પતિ નરેશ જાદવ તેને અવારનવાર ઢોર માર મારતો હતો. એક વર્ષ અગાઉ પણ નરેશે એટલી હદે મારપીટ કરી હતી કે સોનલબેનનો હાથ ભાંગી ગયો હતો અને ફેક્ચર થયું હતું. તે સમયે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું, પરંતુ પોતાની બે સંતાનોનું ભવિષ્ય અને લગ્નજીવન બચાવવા માટે સોનલબેને તે સમયે મૌન સેવી લીધું હતું. પરંતુ આ મૌન જ તેમની જિંદગી પર ભારે પડ્યું હતું. ​નાની-નાની વાતોમાં મેણા-ટોણા અને માનસિક અત્યાચારનો પર્દાફાશ ​ફરિયાદમાં માત્ર પતિ જ નહીં પણ સાસરી પક્ષના અન્ય સભ્યોના નામ પણ ખુલ્યા છે. સોનલબેનના માતાએ જણાવ્યું કે પતિ નરેશ ઉપરાંત સસરા કેશુભાઈ, જેઠ દેવાયત, જેઠાણી ભાવુબેન અને મોટા સસરાનો દીકરો સુરેશ જાદવ દીકરીને નાની નાની વાતોમાં સતત માનસિક ત્રાસ આપતા હતા. એક મહિના પહેલા પણ ઉગ્ર ઝઘડો થતા સોનલબેન રિસામણે પિયર ખડીયા ગામે ચાલ્યા ગયા હતા. જોકે, સાસરિયા પક્ષના સમજાવટ અને મધ્યસ્થી બાદ તેઓ ફરી નોંઝણવાવ સાસરે આવ્યા હતા. પરંતુ સાસરિયાઓએ પોતાની ટેવ મુજબ ફરી ત્રાસ આપવાનું શરૂ કરતા આખરે કંટાળીને સોનલબેને મોતને વહાલું કર્યું હતું. પોલીસે 5 વિરુદ્ધ ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી​આ કેસમાં કેશોદ પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પતિ નરેશ જાદવ, સસરા કેશુભાઈ, જેઠ દેવાયત અને સુરેશ જાદવ એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેઠાણી ભાવુબેન સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 15 વર્ષના લગ્નજીવન બાદ બે બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 6:44 pm

મહેસાણા શહેરમાં એક જ મહિનામાં 600 લોકોને કૂતરા કરડ્યા:રખડતા કૂતરાના આતંકના કારણે સ્થાનિકોમાં ફફડાટ, 2025ના વર્ષમાં કૂલ 3837 લોકોને શ્વાને બચકાં ભર્યા

ઉત્તર ગુજરાતમાં શિયાળાની ઋતુ તેની ચરમસીમાએ પહોંચી છે ત્યારે મહેસાણા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક સોસાયટીઓ અને અંતરિયાળ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શિયાળાની શરૂઆત થતા જ હોસ્પિટલ પહોંચતા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિવિલમાં દરરોજ આવી રહ્યા છે 15 થી 20 કેસ મહેસાણા સિવિલ હોસ્પિટલના આંકડાઓ મુજબ ઉનાળા અને ચોમાસા દરમિયાન શ્વાન કરડવાના કેસોની સંખ્યા મર્યાદિત હોય છે. સામાન્ય રીતે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન દર મહિને સરેરાશ 200 થી 250 દર્દીઓ નોંધાતા હોય છે. પરંતુ શિયાળો શરૂ થતા જ આ આંકડો બમણો થઈ ગયો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 15 થી 20 નવા કેસો નોંધાઈ રહ્યા છે.ગત ડિસેમ્બર મહિનામાં તો આ આંકડો રેકોર્ડબ્રેક 622 પર પહોંચી ગયો હતો. વર્ષ 2025 ના સમગ્ર ડેટા પર નજર કરીએ તો કુલ 3,837 લોકોને શ્વાને બચકા ભર્યા છે. શિયાળો શરૂ થતા કૂતરા કરડવાના કેસ બમણા થયાઆ અંગે સિવિલ હોસ્પિટલના RMO ડો. પી.પી. પટવાએ જણાવ્યું હતું કે, શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થતા શ્વાન વધુ હાયપર-એક્ટિવ ઉશ્કેરાયેલા બની જાય છે, જે આ વધારાનું મુખ્ય કારણ છે. હોસ્પિટલ દ્વારા આવા દર્દીઓ માટે ચોક્કસ પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ ઘાને સાફ કરી તેની ગંભીરતા મુજબ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. હોસ્પિટલમાં એન્ટી-રેબીઝ વેક્સિન અને ઈમ્યુનોગ્લોબ્યુલિન ઈન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને દર્દીઓને 24 કલાક સારવાર આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 6:38 pm

હિંમતનગરમાં રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ શરૂ:16થી 21 વર્ષના મનોદિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધાઓ યોજાઈ

હિંમતનગરના ભોલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભમાં 16 થી 21 વર્ષની વયના મનો દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને સન્માન પત્ર અને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 5 થી 8 જાન્યુઆરી દરમિયાન આ રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે. આ અંગે માહિતી આપતા તુષાર જોગલેકરે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન અલગ અલગ વય જૂથના ભાઈઓ અને બહેનો માટે રમતો રમાઈ રહી છે. ગઈકાલે 8 થી 15 વર્ષના વય જૂથની રમતો યોજાઈ હતી. જ્યારે આજે 16 થી 21 વર્ષના મનો દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલા ભાઈઓ અને બહેનોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓમાં સાયકલિંગમાં 40, બોસીમાં 350, એથ્લેટિક્સમાં 350, વોલીબોલમાં 56, બાસ્કેટબોલમાં 64 અને બેડમિન્ટનમાં 35 મળી કુલ 895 ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના મેદાન પર સવારથી શરૂ થયેલી આ રમતોની સ્પર્ધા સાંજે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ દરેક રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા ભાઈઓ અને બહેનોને ઇનામ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 6:31 pm

મોદી મેટ્રોમાં બેસી અમદાવાદથી મહાત્મા મંદિર સુધી જશે:જર્મનીના વાઇસ ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની પણ મુલાકાત લઈ શકે, PM ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ પ્રથમ વખત ત્રણ દિવસ 10થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. 10 જાન્યુઆરીએ સોમનાથમાં, 11 તારીખે રાજકોટમાં અને 12 તારીખે અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. મોદી 12 તારીખે ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને મહાત્મા મંદિર સુધી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે રંગરોગાણ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારમાં સાફસફાઇ અને વૃક્ષો પણ ઉગાડવામાં આવી રહ્યા છે. 11 જાન્યુઆરીએ રાજકોટમાં રિઝનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન 10, 11 અને 12 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10 તારીખે સોમનાથ મંદિરમાં ટ્રસ્ટીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. તેમજ 11 તારીખે સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા પણ કરવાના છે. 11 તારીખે રાજકોટમાં રિઝનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. જે બાદ 11 તારીખે સાંજે અમદાવાદ આવશે અને 12 તારીખે જર્મનીના વાઇસ ચાલ્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત પણ કરવાના છે. સાબરમતી આશ્રમમાં અંદાજે 20 મિનિટ સુધી મુલાકાત લેશેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. જે દરમિયાન ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને આંટી અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને સાબરમતી આશ્રમમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી આશ્રમમાં અંદાજે 20 મિનિટ સુધી મુલાકાત કરવાના છે. તેમજ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ હાજરી આપવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન પર રંગરોગાણ શરૂ કરાયુંજે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્કમટેક્સ પાસે આવેલા ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર પાસેના મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મેટ્રોમાં બેસીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચે તેવી શકયતા છે. જો કે, અત્યારે ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે રંગરોગાળ શરૂ કરી દેવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનની રેલીંગ સહિતના નીચેની દિવાલો પર રંગરોગાળ કરવામાં આવી રહ્યું છે. રિક્ષા મારફતે કલરની ડોલ પણ ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન લાવવામાં આવી છે. 10 જેટલા કારીગરો દ્વારા રંગરોગાણ થઈ રહ્યું છે. મેટ્રો સ્ટેશન નીચેના વિસ્તારમાં વૃક્ષારોપણ પણ શરૂ કરાયુંમાત્ર એટલું જ નહીં પરંતુ ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં સાફસફાઈ અને મેટ્રોના બોર્ડ પર લાગેલા કલર પણ દુર કરવામાં આવી રહ્યા છે. મેટ્રો સ્ટેશન નજીકથી સફાઈ કર્મચારીઓ દ્વારા ગંદકી દૂર કરવામાં આવી રહી છે. તેમજ ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન નીચેના વિસ્તારમાં વૃક્ષારોપણ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. મેટ્રો સ્ટેશનમાં નીચેનો વિસ્તાર હરિયાળો લાગે તે માટે અલગ અલગ વૃક્ષો પણ લગાવીને લગાવવામાં આવી રહ્યા છે. એટલે કે જે મેટ્રોમાં બેસીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુસાફરી કરે તેવી શકયતા હોવાથી અત્યારથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 6:30 pm

હાઇકોર્ટ કેમ્પસમાં કૂતરાઓથી વકીલો ફફડ્યાં, VIDEO બુલેટિન:પાણી પુરીનો ચટાકો ભારે પડશે, એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 6 Jan 2026 6:30 pm