SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

તાપી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ:કાપોદ્રા બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી, ફાયર જવાનોએ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

સુરત શહેરમાં આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મોડીરાત્રે વધુ એક યુવકે કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનના જવાનોની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. ફાયર વિભાગે યુવકને સહી-સલામત નદીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. રાહદારીઓએ બૂમાબૂમ કરી અને તંત્ર દોડતું થયુંમળતી માહિતી મુજબ, શહેરના કાપોદ્રા બ્રિજ પરથી રાત્રે એક અજાણ્યા 25 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તાપી નદીમાં પડતું મૂક્યું હતું. બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓની નજર આ યુવક પર પડતા જ ભારે હોબાળો મચી ગયો હતો. જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમો રિંગ બોયા અને લાઈફ જેકેટ જેવા અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ નદીના પ્રવાહમાં ડૂબતા યુવક સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ફાયર જવાનોએ ફિલ્મી ઢબે નદીમાં ઉતરીને યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. આત્મહત્યાના પ્રયાસનું કારણ અકબંધફાયર વિભાગે યુવકને બચાવી લીધા બાદ તેને અશ્વિનીકુમાર પોલીસ ચોકીને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકની ઉંમર 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ હાલ યુવકના પરિવારજનોનો સંપર્ક કરી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:24 pm

વાડજમાં હાથમાં છરો લઈને યુવકનો આતંક, પોલીસને ગાળો આપી:રસ્તે જતાં રાહદારીઓને ધમકાવ્યાં, ‘અહીં માત્ર ચિકનની દુકાનો જ ચાલુ રહેશે’ કહી દુકાનદારોને ડરાવ્યાં

અમદાવાદના વાડજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાડજમાં રામાપીરના ટેકરા પાસે એક યુવક હાથમાં મોટો છરો લઈને જાહેર રસ્તા પર આતંક મચાવતો અને રાહદારીઓને ધમકાવતો જોવા મળ્યો હતો. આ યુવકે પોલીસ અને BRTS તંત્રને પણ બીભત્સ ગાળો ભાંડી હતી. ‘અહીં નહીં આવવાનું, બધું બંધ કરી દો’, આરોપીની દાદાગીરીવાઇરલ વીડિયો મુજબ, યુવક BRTS બસ સ્ટેન્ડ પાસે રસ્તાની વચ્ચે છરો લહેરાવીને નીકળતા વાહનચાલકોમાં ભય ફેલાવી રહ્યો હતો. તેણે દુકાનદારોને ધમકી આપતા કહ્યું હતું કે, બધું બંધ કરી દો, આ બધું મારું છે. અહીં માત્ર ચિકનની દુકાનો જ ચાલુ રહેશે. રાહદારીઓને છરો બતાવી તે અહીં નહીં આવવાનું કહીને ધમકાવી રહ્યો હતો. નવા PI માટે અસામાજિક તત્ત્વોનો પડકારવાડજ વિસ્તારમાં લાંબા સમય સુધી કાર્યરત PI વી. આર. ડાંગરની બદલી થયા બાદ, નવા આવેલા PI એચ. પી. ગરાસિયા માટે આ કિસ્સો એક મોટો પડકાર સાબિત થયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસ અધિકારીઓની બદલી થતા જ અસામાજિક તત્ત્વોએ ફરી માથું ઊંચક્યું છે. આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની ક્ષમતા પર પણ સવાલો ઊભા કર્યા છે. પોલીસ કાર્યવાહી: ગુનો નોંધવાની તજવીજઆ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI એચ. પી. ગરાસિયાએ જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ થયા બાદ યુવકની ઓળખ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:20 pm

મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ પર કોંગ્રેસના આકરા પ્રહાર:નારી શક્તિ વંદનને ચૂંટણીલક્ષી ગતકડું ગણાવી, મોંઘવારી મુદ્દે કોંગ્રેસે ભાજપને આડેહાથ લીધી

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા મહિલા અનામત બિલને લઈને હાલ દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, મેલી મુરાદ સાથે મહિલા અનામત બિલ પસાર કરવા નીકળેલી ભાજપ સરકારને હવે દેશમાં ધોબી પછડાટ ખાવાનો વખત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતનાં બંધારણીય અને ભારતનાં જનતાના આત્માના અવાજને નષ્ટ કરવા માટે, મહિલાઓનો સંપૂર્ણ દુરુપયોગ કરીને વડાપ્રધાને જે પ્રચાર-પ્રસાર હેતુથી, ચૂંટણીલક્ષી હેતુથી વિપક્ષને બદનામ કરવા માટે જે સંસદમાં બિલ રજૂ કર્યું હતું, જે ખૂબ ખરાબ રીતે ઊડી ગયું. કારણ કે ભારતની ઓળખ, આત્મા પર એમાં ઘાતક હથિયાર તરીકે એમણે ચૂંટણીલક્ષી દુરુપયોગ કર્યો હતો. માટે એ મહિલાઓના સન્માનની જગ્યાએ એમણે મહિલાઓને દુરુપયોગ કરીને જે અપમાનજનક કૃત્ય કર્યું છે, એ કોંગ્રેસ પાર્ટી સખત રીતે વખોડે છે અને 33 ટકા મહિલા અનામત જે 2023માં બિલ પસાર થયું હતું, એનો તાત્કાલિક અમલ કરે એવી નમ્ર પ્રાર્થના કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આ બિલ લાવવાનો હેતુ માત્ર આવનારી બંગાળથી માંડીને ચૂંટણીમાં મહિલાઓનો દુરુપયોગ કરવાનો હતો અને પ્રચાર-પ્રસાર કરવાનો જ એનો મુખ્ય હેતુ હતો. એમનો હેતુ મહિલાઓને અનામત આપવાનો નહોતો, અટલ બિહારી વાજપેયી ને પણ એમના નેતા ને પણ એ લોકો ભૂલી ગયા છે. કોંગ્રેસ સુરતમાં તમામ મહિલાઓને નિઃશુલ્ક બસ મુસાફરીની સુવિધા આપશેતાજેતરમાં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પણ કોંગ્રેસે મહિલાઓ અને વિદ્યાર્થી લક્ષી વિશેષ કમિટમેન્ટ (મેનિફેસ્ટો) રજુ કર્યો છે. સુરત શહેર કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો શહેરની તમામ મહિલાઓને નિઃશુલ્ક બસ મુસાફરીની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત, આર્થિક ભારણ ઘટાડવા માટે જો વાહન મહિલાના નામે હશે તો સંપૂર્ણ રોડ ટેક્સમાં મુક્તિ અને જો મિલકત મહિલાના નામે હશે તો ટેક્સમાં 50 ટકા જેટલી મોટી રાહત આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે મહિલા અનામત કાયદાને કોઈપણ વિલંબ વગર આગામી ચૂંટણીથી જ અમલમાં મૂકવામાં આવે અને સીમાંકનની રાહ જોયા વગર અત્યારની 543 બેઠકો પર જ 33 ટકા અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે. વધુમાં, સામાજિક ન્યાયના ભાગરૂપે આ અનામતમાં OBC, SC અને ST મહિલાઓ માટે તેમની વસ્તીના પ્રમાણમાં અલગ સબ-ક્વોટાની જોગવાઈ કરવી જોઈએ, તો જ સાચા અર્થમાં મહિલાઓને ન્યાય મળ્યો ગણાશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:19 pm

'વ્યવસાય વેરો નાબૂદ કરો, નહીં તો મત નહીં':'જે સુરતને અમે ચમકાવ્યું, આજે ત્યાં જ અમારો અવાજ રૂંધાય છે', 100 કરોડનો ટેક્સ વસૂલતી મનપા સામે રત્નકલાકારોનો મોરચો

સુરતની ઓળખ સમાન હીરા ઉદ્યોગના રત્નકલાકારોમાં ભારે આક્રોશમાં છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 26 એપ્રિલના મતદાન પૂર્વે રત્નકલાકારોએ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા વ્યવસાય વેરા વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમની સ્પષ્ટ માંગ છે કે પગારમાંથી કપાતો માસિક રૂ. 200નો વેરો તાત્કાલિક બંધ કરવામાં આવે. 'દર મહિને રૂ. 200નો બોજ'ઓમકાર સોરઠિયાએ જણાવ્યું હતું કે, મારી 20,000ની સેલેરીમાંથી 200 રૂપિયા કપાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાને 'નંબર વન' કહે છે, પણ મજૂરો પાસેથી વેરો ઉઘરાવવો એ ક્યાંનો ન્યાય છે? જે સુરતને અમે ચમકાવ્યું, આજે ત્યાં જ અમારો અવાજ રૂંધાય છે. વેરો માલિકોનો કે કારીગરોનો?રત્નકલાકાર હરિ મહારાજે પોતાની વ્યથા ઠાલવી કે, ખરેખર તો આ વ્યવસાય વેરો માલિકોએ ભરવાનો હોય છે, તો પછી કારીગરોના પગારમાંથી કેમ કાપવામાં આવે છે? અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. 'મહાનગરપાલિકા વિશ્વની આઠમી અજાયબી'રત્નકલાકાર રમેશભાઈ પાલિકાની નીતિઓ પર કટાક્ષ કર્યો હતો કે, મહાનગરપાલિકા વિશ્વની આઠમી અજાયબી છે જે કામદારો પાસેથી ટેક્સ લે છે. રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવે છે. તેમ છતાં રત્નકલાકારોને PF, PSI, હક રજા, ગ્રેજ્યુઈટી કે બોનસ જેવા કોઈ લાભો મળતા નથી. કામદારોને તેમના હક આપવાના બદલે તેમની પાસેથી ટેક્સ લેવો એ તદ્દન ખોટું છે. આ ચૂંટણીમાં રત્નકલાકારોનો મિજાજ સ્પષ્ટ છે કે વેરો નાબૂદ નહીં તો મત નહીં. '100 કરોડનો વેરો એ BRTSની નુકસાનીની ભરપાઈ'ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ કાકનું કહેવું છે કે, સુરતના રત્નકલાકારો દર વર્ષે અંદાજે 80થી 100 કરોડ રૂપિયા વ્યવસાય વેરો મહાનગરપાલિકાને ચૂકવે છે. બીજી તરફ, પાલિકાની BRTS બસ સેવા વર્ષે 100 કરોડનું નુકસાન કરે છે. શું રત્નકલાકારોના ટેક્સના પૈસાથી આ નુકસાની ભરપાઈ કરવામાં આવે છે? પરિવર્તનના મૂડમાં રત્નકલાકારોસુરતના લાખો રત્નકલાકારો જે શહેરની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, તેઓ હવે પરિવર્તનના મૂડમાં જણાય છે. ડાયમંડ વર્કર યુનિયન અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, કારીગરોમાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી છે. મધ્યમ અને ગરીબ વર્ગના આ કારીગરો માટે દર મહિને 200 રૂપિયાની બચત પણ મોટી વાત હોય છે. જ્યારે મોંઘવારી આસમાને છે ત્યારે વધારાના વેરાનો બોજ તેમને અસહ્ય લાગે છે. આ ચૂંટણીમાં રત્નકલાકારો એકજૂથ થઈને પોતાની તાકાત બતાવવા તૈયાર છે. ચૂંટણીલક્ષી કમીટમેન્ટની રાહ: રાજકીય પક્ષો માટે કસોટીઆગામી દિવસોમાં જ્યારે ઉમેદવારો પ્રચાર માટે રત્નકલાકારોના વિસ્તારોમાં જશે. ત્યારે તેમને આ વેરાના પ્રશ્નોનો સામનો કરવો જ પડશે. અત્યાર સુધી માત્ર આશ્વાસનો મળ્યા છે, પરંતુ આ વખતે રત્નકલાકારો 'કમિટમેન્ટ' માંગે છે. જે પક્ષ લેખિતમાં અથવા જાહેર મંચ પરથી વ્યવસાય વેરો નાબૂદ કરવાની જાહેરાત કરશે, તેના પક્ષે રત્નકલાકારોનું પલડું નમી શકે છે. હીરા નગરીના આ કારીગરોનો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચશે કે કેમ તે તો સમય જ બતાવશે. પણ હાલ પૂરતો તો રત્નકલાકારોએ વિરોધનું રણશિંગુ ફૂંકી દીધું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:17 pm

બસ સ્ટેશનની લિફ્ટમાં ફસાઈ ગયા, ઈમરજન્સી બટન બંધ છે:રાજકોટના આધુનિક બસપોર્ટની લિફ્ટ બંધ થતા 4 લોકો જીવ બચાવવા કરગર્યાનો વીડિયો વાયરલ, સદનસીબે જાનહાનિ ટળી

રાજકોટનું આધુનિક બસપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવેલું છે. અહીં ગત શનિવારે સાંજના સમયે લિફ્ટ બંધ થઈ ગયાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં જાગૃત યુવાન વીડિયોમાં બોલે છે કે અમે લિફ્ટમાં ફસાઈ ગયા છીએ અને ઈમરજન્સી બટન પણ બંધ હાલતમાં છે. જોકે આ દરમિયાન ઇમરજન્સી નંબર પર જાણ કરવામાં આવતા લિફ્ટના મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા લિફ્ટ ચાલુ કરી ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બસપોર્ટમાં દુકાનો કે હોટેલમાં જવા માટેની લિફ્ટમાં કેપેસિટી કરતા વધુ સામાન લઈ જવામાં આવતા આ ઘટના બની હોવાનું બિલ્ડીંગ એસોસિયેશનનું કહેવું છે. જ્યારે ડેપો મેનેજર દ્વારા આ લિફ્ટના મેન્ટેનન્સની જવાબદારી અમારામાં આવતી ન હોવાનું કહી હાથ ખંખેરી લીધા હતા. રાજકોટ એસટી બસપોર્ટમાં શનિવારે સાંજના સમયે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડના પ્રીમાઈસીસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં બિલ્ડીંગમાં ચોથા માળેથી નીચે ઉતરતી લિફ્ટ અચાનક અધવચ્ચે જ થંભી ગઈ હતી. જેને લીધે લિફ્ટમાં ફસાયેલા 4 લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જેમાંના એક વ્યક્તિએ વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તે યુવાન કહે છે કે, 'અમે રાજકોટ બસ સ્ટેશનની લિફ્ટ માં ફસાઈ ગયા છીએ.' લિફ્ટની અંદર રહેલું ઈમરજન્સી બટન વારંવાર દબાવવા છતાં લીફ્ટ ખુલી રહી નથી. યુવાન કહે છે કે 'અમે રાજકોટના બસ સ્ટેન્ડમાં ચોથા માળેથી લીફ્ટમાં નીચે આવતા હતા અને અચાનક લીફ્ટ બંધ થઈ ગઈ છે, અમે લિફ્ટમાં ચાર લોકો ફસાયા છીએ, અમે હેલ્પ માટે જાણ કરી છે, લિફ્ટના ઈમરજન્સી બટન કામ નથી કરતા, અમે ઘણી ટ્રાય કરી પરંતુ લિફ્ટ ખુલતી નથી'. લિફ્ટમાંથી બહાર નીકળવા માટે લોકો લાંબા સમય સુધી કરગરતા જોવા મળ્યા હતા. બસ સ્ટેશનની લિફ્ટ બંધ થઈ જવા મામલે રોષ જોવા મળી રહ્યો છે કે કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગની જાળવણીનો અભાવ શા માટે છે? અગાઉ પણ અહીં અનેક ક્ષતિઓ સામે આવી ચુકી છે ત્યારે આ લિફ્ટની ઘટનાએ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે પરંતુ તંત્રની આ લાપરવાહી અહીંના વેપારીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય તેમ છે. આ અંગે ડેપો મેનેજર ઘનશ્યામ ચગનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, જે લિફ્ટનો વિડીયો વાયરલ થયો છે તેનું સંચાલન એસટી વિભાગ પાસે નથી. તે બિલ્ડિંગ એસોસિએશનના મેનેજમેન્ટ હેઠળ આવે છે. જે બાદ બસ સ્ટેશન બિલ્ડીંગ એસોસિએશનના પ્રમુખ કશ્યપ પંચોલીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, બસપોર્ટમાં આવેલી 400 દુકાનોનું અમારું એસોસિયેશન છે. આ લિફ્ટ બંધ થઈ ગઈ તે શનિવારે રાતની ઘટના છે. લિફ્ટમાં વધુ પડતો સામાન લઈ જવા તો હોવાને કારણે આવું બન્યું છે. જોકે 15 મિનિટમાં લિફ્ટ માં ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:12 pm

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહીસાગરની મુલાકાતે:સંતરામપુરમાં વિકાસ સંકલ્પ સભા અને બેઠકનું આયોજન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહીસાગર જિલ્લાના સંતરામપુરની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત વિકાસ સંકલ્પ સભાને સંબોધશે. આ ઉપરાંત, તેઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજશે. કાર્યક્રમ અનુસાર, મુખ્યમંત્રી પ્રથમ સંતરામપુરના પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિકાસ સંકલ્પ સભાને સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ સવારે રામદ્વારા ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમને લઈને જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આગમનને પગલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો સભા સ્થળ પ્રતાપપુરા ખાતે ઉપસ્થિત થયા છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:53 am

મોડાસા સાકરિયા હનુમાન મંદિરે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ:22 થી 24 એપ્રિલના ત્રિદિવસીય મહોત્સવની માહિતી અપાઈ

મોડાસાના સાકરિયા ગામે આવેલા સ્વયંભૂ અને સુતેલા હનુમાન દાદાના મંદિરે 22 થી 24 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગેની વિગતવાર માહિતી આપવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મંત્રી અને અરવલ્લી જિલ્લાના પત્રકાર વૈભવ રાઠોડ તેમજ સ્વયંસેવક અને પત્રકાર કૌશિક પટેલના આયોજન હેઠળ યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોને કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આપવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ હેમંત પટેલે સમગ્ર કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત મંદિરમાં જીર્ણોદ્ધાર, મારુતિયાગ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જેવા મુખ્ય ધાર્મિક વિધિઓ યોજાશે. આ ઉપરાંત, ભક્તો માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો પ્રારંભ 21 એપ્રિલે ધવલ કુમારના સ્વરે ભવ્ય સુંદરકાંડના આયોજનથી થશે. 22 એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહાયાગ અને અગિયાર કુંડાત્મક હવન યજ્ઞશાળાનું ઉદ્ઘાટન કરશે. તે જ રાત્રે જીગ્નેશદાદાની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. 23 એપ્રિલે લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ડાયરા કાર્યક્રમ યોજાશે. મહોત્સવની પૂર્ણાહુતિ 24 એપ્રિલે મહાપ્રસાદ સાથે થશે. મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં મંદિર પરિસરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:46 am

પાર્ટ-ટાઈમ જોબના બહાને વસ્ત્રાલના યુવક સાથે ₹30.49 લાખની છેતરપિંડી:હોટેલ-રેસ્ટોરન્ટમાં ગુગલ રિવ્યૂ આપવાનું કહી શરૂઆતમાં નાની રકમનો નફો અપાવ્યો; સાયબર ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદમાં સાયબર ગુનેગારોએ વધુ એક નિર્દોષ નાગરિકને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 38 વર્ષીય યુવકને હોટેલ-રેસ્ટોરન્ટના ગુગલ રિવ્યૂ આપવાના બહાને કમાણી કરવાની લાલચ આપી સાયબર ઠગોએ ₹30.49 લાખ પડાવી લીધા છે. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીવસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવકને ફોન પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો, જેમાં પાર્ટટાઈમની જોબ ઓફર કરી હતી. આ જોબમાં મોબાઈલ ફોનથી ગુગલ મેપમાં જઈને હોટેલ અને રેસ્ટોરન્ટમાં રિવ્યુ આપવાના હતા. જે રિવ્યુ આપવાથી શરૂઆતમાં 50 રૂપિયાનો ટાસ્ક મળશે અને એડવાન્સ પૈસા જમા કરાવવાથી 100 રૂપિયાનો એક ટાસ્ક સામેથી આપવામાં આવશે, તેવું જણાવ્યું હતું. વિશ્વાસ કેળવી લાખોનું રોકાણ કરાવ્યુંયુવકે અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને ટાસ્ક પૂરુ કરવાનું શરૂ કર્યું. જે બદલ યુવકને શરૂઆતમાં પુરા કરવાના પૈસા આપવામાં આવતા હતા, જે બાદ યુવકને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં એડ કર્યા બાદ રોજના 21 ટાસ્ક આપવામાં આવશે, કહીને યુવક પાસેથી એડવાન્સ 2000 લીધા હતા. જે પૈસા લીધા બાદ યુવકે ટાસ્ક પૂરા કરતા યુવકને 2630 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા, જેથી યુવકને વિશ્વાસ આવી ગયો હતો. 30.49 લાખ ગુમાવ્યા બાદ ભાંડો ફૂટ્યો13 માર્ચ, 2026થી 1 એપ્રિલ, 2026 સુધીમાં ઠગોએ અલગ-અલગ બહાને યુવક પાસેથી પૈસા પડાવ્યા. યુવકને જણાવવામાં આવ્યું કે તેનો નફો ઘણો વધી ગયો છે, તેથી 'VIP કસ્ટમર' બનવા માટે વધુ ₹16 લાખ જમા કરાવવા પડશે. લાલચમાં આવી યુવકે આ રકમ પણ ભરી દીધી હતી. 20 દિવસમાં ટુકડે-ટુકડે કુલ ₹30.49 લાખ જમા કરાવ્યા બાદ જ્યારે યુવકે પોતાનો નફો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ 'પ્રોસેસિંગ ફી'ના નામે વધુ પૈસાની માંગણી કરી હતી. યુવકને છેતરપિંડીનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:45 am

જ્યાં ગઈકાલે મુસાફરોની ભીડ હતી ત્યાં આજે કાગડા ઉડે છે:ઉધના સ્ટેશન પર બીજા દિવસે સ્થિતિ સામાન્ય, વેકેશનમાં સમયમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતા

દક્ષિણ ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજા, કારખાનાઓમાં રજા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે રાંધણગેસની અછતને લીધે હજારો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિસાવાસીઓએ વતનની વાટ પકડી છે. દરમિયાન રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય શ્રમિકોની ભારે ભીડ ઉમટી હતી. આજે બીજા દિવસે એટલે કે સોમવારે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે કાગડા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભીડ માત્ર એક જ દિવસની હોય તે પ્રકારની હાલ સ્થિતિ સામે આવી રહી છે. ગઈકાલે શું ઘટના બની હતી?ગતરોજ ઉધના રેલવે સ્ટેશ. ખાતે અંદાજે 28 હજારથી વધુ મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ તેમાં માત્ર 23 હજારને જ ટ્રેનોમાં જગ્યા મળી શકી, જ્યારે 5 હજારથી વધુ મજૂરો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા હતા. શનિવારે મોડી સાંજથી મોટી સંખ્યામાં મુસાફરોએ ઉધના સ્ટેશને ધામો નાંખ્યો હતો. મુસાફરોની સંખ્યા વધી રહી હતી. હાલાકી એટલી વધી ગઈ કે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરો બેરિકેટ પર ચઢી ગયા હતા. જેને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યાસવારે રેગ્યુલર દિવસોની જેમ ઉધના રેલવે સ્ટેશન પર સામાન્ય મુસાફરો દેખાયા હતા. આજે પણ થોડા ઘણા આજે મુસાફરો આવ્યા હતા તેમને લાઈનબધ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. ગતરોજ જ્યાં મુસાફરો ની ભીડ હતી ત્યાં આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યા હતા. ઉધના રેલવે સ્ટેશનના બંને હોલ્ડિંગ એરિયામાં એક પણ મુસાફર ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વેકેશનમાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતારવિવારના દિવસે જે અફરાતફરી અને ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આજે સોમવારના દિવસે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ વેકેશન દરમિયાન શનિવાર, રવિવાર અને મંગળવારના રોજ થવાની શક્યતા છે. વેકેશન દરમિયાન થતી પરિસ્થિતિને લઈને રેલવે વિભાગ દ્વારા આ ત્રણેય દિવસોમાં સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ જેટલી ટ્રેન અન રિઝલ્ટ સાથે જનરલ કોચવાળી ટ્રેન દોડાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:45 am

બોટાદમાં પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા નીકળી:સર્વ સમાજના લોકો જોડાયા, ધામધૂમથી ઉજવણી

બોટાદ શહેરમાં 19 એપ્રિલ, 2026 ના રોજ ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા બોટાદ જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી મહાકાળીધામ બોટાદ દ્વારા યોજવામાં આવી હતી. અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લા અધ્યક્ષ શ્રી ભાવેશબાપુ શુકલનો પણ આ આયોજનમાં સહયોગ રહ્યો હતો. આ શોભાયાત્રા શ્રી મસ્તરામજી મંદિરથી શરૂ થઈ હતી. તે દિનદયાળ ચોક, હવેલી ચોક, એસ.ટી. ડેપો અને પંજવાણી વેબ્રિજ સહિત શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં સર્વ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શોભાયાત્રાનું સમાપન વર્લ્ડ મલ્ટીપ્લેક્સ સામે આવેલા શ્રી મહાકાળી ધામ ખાતે થયું હતું. રેલી પૂર્ણ થયા બાદ શ્રી મહાકાળી ધામ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:45 am

સુરેન્દ્રનગર SPએ વિકલાંગ દંપતીને વ્યાજખોરીમાંથી મુક્ત કર્યા:ગીરવે મુકેલા મકાનના દસ્તાવેજ કલાકોમાં પરત અપાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સંવેદનશીલતાને કારણે એક વિકલાંગ દંપતી વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત થયું છે. એસ.પી.એ દંપતીને તેમના ગીરવે મૂકેલા મકાનના દસ્તાવેજો કલાકોમાં પરત અપાવ્યા હતા. જ્યોતિનગરમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ પટેલ અને તેમના પત્ની બંને વિકલાંગ છે. તેઓ ફરસાણની ફેરી કરીને ગુજરાન ચલાવે છે. ઘરખર્ચ અને લોન ભરવા માટે તેમને પૈસાની જરૂર હતી. આશરે પાંચ-છ મહિના પહેલા, દંપતીએ કિશોરભાઈ સામજીભાઈ હડીયલ પાસેથી કટકે-કટકે ₹6,70,000 ઉછીના લીધા હતા. આ રકમ સામે તેમણે પોતાના મકાનનો અસલ દસ્તાવેજ અને સહી કરેલા ચાર કોરા ચેકો ગીરવે આપ્યા હતા. જ્યારે સુરેશભાઈએ ₹6,70,000 પરત આપીને મકાનના દસ્તાવેજ માંગ્યા, ત્યારે કિશોરભાઈએ ₹10,00,000 ની માંગણી કરી દસ્તાવેજ પરત આપવાનો ઇનકાર કર્યો. આટલી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા ન હોવાથી દંપતી અસહાય બન્યું હતું. ન્યાયની આશાએ, વિકલાંગ દંપતી જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યું. તેમની વ્યથા અને પરિસ્થિતિ જોઈને એસ.પી. પ્રેમસુખ ડેલુ પોતે પોતાની ઓફિસમાંથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા હતા. એસ.પી. ડેલુએ અત્યંત સંવેદનશીલતા સાથે દંપતીની રજૂઆત સાંભળી. તેમણે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને અરજીનો નિકાલ કરવા સૂચના આપી. એસ.પી.ની સૂચના મુજબ, સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટાફે ત્વરિત કાર્યવાહી હાથ ધરી. પોલીસે સામાવાળા પક્ષ કિશોરભાઈ હડીયલને બોલાવી કાયદાકીય સમજ આપી. પોલીસની હાજરીમાં, કિશોરભાઈએ સુરેશભાઈના મકાનનો અસલ દસ્તાવેજ અને ચાર કોરા ચેકો પરત સોંપ્યા. વ્યાજખોરીના ડર અને દસ્તાવેજ ગુમાવવાના ભયમાંથી મુક્ત થયેલા સુરેશભાઈ અને તેમના પત્નીએ રાહતનો શ્વાસ લીધો. તેમણે જિલ્લા પોલીસ વડા અને બી-ડિવિઝન પોલીસની આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:42 am

રૂ. 2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ નથી !:રાજકોટ મનપાને 1 BHKનાં કુલ 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા, 2 અને 3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના છેવાડે આવેલા પ્રેમમંદિર અને પોપટપરા વિસ્તારમાં વર્ષો જૂના ખંઢેર આવાસોનું રીનોવેશન કરીને માત્ર રૂ. 2 લાખમાં 1BHK આવાસ વેચવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે માત્ર રૂ. 2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, મનપાને 1 BHKનાં 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા છે. બીજીતરફ LIG તેમજ MIG કેટેગરીનાં 2 અને 3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો છે. આ બંને કેટેગરીના મળી માત્ર 23 આવાસોની સામે અંદાજે 4 હજાર ફોર્મનો ઢગલો થયો છે. પ્રાપ્ત વિગત મુજબ જુના આવાસોને નવો ઓપ આપીને વેંચવાની યોજના અત્યારે ઊંધા માથે પછડાઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વર્ષ 2006માં બીએસયુપી (BSUP) યોજના હેઠળ નિર્મિત આ 1057 આવાસોનાં રીનોવેશન બાદ માત્ર રૂ. 2 લાખની નજીવી કિંમતે ઓફર કરવા છતાં જનતાએ તેમાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. છેલ્લા બે સપ્તાહથી ચાલતી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં આટલી મોટી સંખ્યાના આવાસો સામે માત્ર 454 ફોર્મ જ ભરાયા છે, જોકે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 મેં છે. ત્યારે 1057 કરતા વધુ ફોર્મ ભરાય છે કે નહીં તેનાં પર સૌની મીટ મંડાયેલી છે. મનપાની નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ આવાસોનું અતિશય જૂનું માળખું માનવામાં આવે છે. પ્રેમમંદિર પાસે અને પોપટપરામાં આવેલા આ આવાસો મૂળભૂત રીતે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર અભિયાન અંતર્ગત વિસ્થાપિતોને વસાવવા માટે બનાવવામાં આવ્યા હતા. જોકે ભૌગોલિક સ્થિતિ સહિતના અગમ્ય કારણોસર તત્કાલીન લાભાર્થીઓએ આ મકાનોમાં રહેવા જવાનું મુનાસિબ માન્યું નહોતું. જેના પરિણામે લાંબા સમય સુધી માનવ વસવાટ વિનાના આ મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો અને 'ભૂતિયા બંગલા' જેવા ખંઢેરમાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના બારી-બારણાં ચોરાઈ ગયા હતા, પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને આખું સ્ટ્રક્ચર જોખમી જણાતું હતું. સામાન્ય એન્જિનિયરિંગ સિદ્ધાંત મુજબ, જ્યારે કોઈ ઈમારત 20-25 વર્ષ જૂની થાય ત્યારે તેનું રિ-ડેવલપમેન્ટ કરવું હિતાવહ હોય છે. રાજકોટના મોકાના ગણાતા પ્રેમમંદિર વિસ્તારમાં જમીનની કિંમત ખૂબ ઊંચી છે, ત્યારે તંત્ર પાસે તક હતી કે આ જૂના સ્ટ્રક્ચરને તોડી પાડીને ત્યાં 12 થી 14 માળના આધુનિક હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવવામાં આવે. જો ત્યાં કોમર્શિયલ સેન્ટર અને નવા આધુનિક આવાસો બનાવવામાં આવ્યા હોત તો મનપાની તિજોરીમાં કરોડોની આવક થઈ શકી હોત અને જરૂરિયાતમંદોને સુરક્ષિત મકાન મળે તેમ હતું. પરંતુ, સત્તાધીશોએ જૂના જોખમી માળખા ઉપર જ થીગડાં મારીને, લાખો રૂપિયાનો ખર્ચ કરી રસોડાના પ્લેટફોર્મ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને કલરકામ કરાવી તેને 'નવા' તરીકે રજૂ કરવાની નીતિ અપનાવી, જે હવે મનપા માટે 'લાખના બાર હજાર' જેવી સાબિત થઈ રહી છે. એકતરફ વધતી જતી મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગ એક ઘર માટે વલખાં મારી રહ્યો છે, ત્યાં રૂ. 2 લાખમાં ઘર મળતું હોવા છતાં લોકો પાછા પડી રહ્યા છે. લોકોમાં એવી દહેશત છે કે જે બિલ્ડિંગ 20 વર્ષ સુધી બિનવારસી હાલતમાં પડી રહ્યું હોય તેની મજબૂતી કેટલી હશે? જોકે બીજી તરફ, આ ફોર્મ વિતરણમાં એલઆઇજી (LIG) અને એમઆઇજી (MIG) કેટેગરીના મકાનો માટે પડાપડી જોવા મળી રહી છે. માત્ર 6 એલઆઇજી આવાસો માટે 1882 અરજીઓ અને 17 એમઆઇજી આવાસો માટે 2171 અરજીઓ આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડાકીય તુલના સ્પષ્ટ કરે છે કે જનતાને સસ્તા કરતાં સુરક્ષિત અને આધુનિક આવાસ મળે તેમાં વધુ રસ છે. રાજકોટ મહાનગરપાલિકાના આ ફ્લોપ શો એ સાબિત કરી દીધું છે કે જૂના ખંઢેરને માત્ર કલર કરવાથી તે રહેવા લાયક બની જતું નથી. હવે જોવાનું એ રહે છે કે આવનારી 6 મેં સુધીમાં 1 BHKનાં આવાસો લેવા માટે કેટલા ફોર્મ આવે છે. જો કદાચ આ માટે જરૂરી અરજીઓ નહીં મળે તો મુદ્દત વધારવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:37 am

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ 9 ગામોની મુલાકાત લીધી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચારમાં ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ યોજી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્યક્રમો, જનસભાઓ અને મતદારો સાથેના સંપર્ક અભિયાન જોરશોરથી ચાલી રહ્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર અર્થે વઢવાણ તાલુકાના 9 ગામોની મુલાકાત લીધી હતી. આ ગામોમાં ખોડુ, બાળા, અણિન્દ્ર, કરનગઢ, કટુડા, પ્રાનગઢ, રૂપાવટી અને વેળાવદરનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, તેમણે સુરેન્દ્રનગર શહેરના 5 અલગ-અલગ સ્થળોએ જાહેર સભાઓ યોજી હતી. આ સભાઓ દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિકાસ સંબંધિત મુદ્દાઓ, જાહેર સુવિધાઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ પણ પોતાના પ્રશ્નો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા.ધારાસભ્યના આ સતત પ્રવાસ અને વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોને કારણે વિસ્તારમાં તેમની મુલાકાતો અંગે ચર્ચાઓ જોવા મળી રહી છે. ટૂંકા ગાળામાં અનેક વિસ્તારોમાં પહોંચવાના તેમના પ્રયાસો સ્થાનિક સ્તરે ધ્યાન ખેંચી રહ્યા છે.આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ ગતિમાન બનવાની શક્યતા છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા જનસભાઓ, ઘરેઘરે સંપર્ક અને અન્ય જાહેર કાર્યક્રમો દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો વધુ તેજ બનશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:19 am

મેવાણીને કાળા ઝંડા બતાવ્યા, હાય હાયના નારા લાગ્યા:સરસપુર-રખિયાલ વોર્ડમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારકનો વિરોધ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી રહ્યા છે, પરંતુ ઠેર ઠેર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે(19 એપ્રિલ) જીગ્નેશ મેવાણી રખિયાલ-સરસપુર વોર્ડની પેનલના પ્રચાર માટે આવ્યા હતા. જે દરમિયાન રેલી પણ યોજવામાં આવી હતી. રેલીના રૂટ પર સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કાળા ઝંડા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાય હાયના નારા લગાવીને જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કર્યો હતો. ઉમેદવારની સાથે સ્ટાર પ્રચારકનો વિરોધઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનો વિવાદ ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. સિનિયર નેતાઓએ પોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપી દીધી હતી. સરસપુર રખિયાલ વોર્ડમાં પણ સિનિયર નેતાઓની જીદના કારણે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલી દેવામાં આવ્યું હતું. જેથી સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાતા હવે સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેવી હવે સરસપુર રખિયાલ વોર્ડમાં ઉમેદવારોની સાથે સાથે સ્ટાર પ્રચારકનો પણ વિરોધ થઈ રહ્યો છે. મેવાણીનો વિરોધગઈકાલે સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણી સરસપુર રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા. પરંતુ ટિકિટના વિવાદના કારણે રેલી જ્યારે મન્સૂરીની ચાલી પાસે પહોંચી ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારક અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જીતેગા ભાઈ જીતેગા પંજા વાલા જીતેગાના નારા લગાવ્યા હતા. તેમજ વિવાદ વધારે ન થયા તે માટે મોટી સંખ્યામાં પોલીસ પણ રાખવામાં આવી હતી. મારી પત્નીની છેલ્લી ઘડીએ ટિકિટ કાપી હતી: શકીલ ઘાંચીગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના પૂર્વ મહામંત્રી શકીલ ઘાંચીએ જણાવ્યું હતું કે, સરસપુર રખિયાલ વોર્ડમાં મારી પત્નીને ટિકિટ આપવાનું નક્કી થયું હતું. તેમજ મેન્ડેટ લેવા માટે પણ આવવા કહેવામાં આવ્યું હતું. જેથી અમે બધી જગ્યાએ પોસ્ટ મુકીને ટિકિટ મળી ગઈ છે તેવી ઉજવણી પણ કરી દીધી હતી. પરંતુ છેલ્લી ઘડીએ અમારી ટિકિટ કાપીને અન્ય મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. હિંમતસિંહ પટેલ પાસે ગયા હતા તો તેમણે એવું કહ્યું કે તે ઉપરથી વાત કરાવીને ટિકિટ લઈને આવ્યા છે. જેથી સક્રિય કાર્યકર્તા છીએ છતાં ટિકિટ કાપતા મેં રાજીનામું આપી દીધું હતું. જેથી ગઈકાલે રેલી દરમિયાન અમારા સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને કાળા ઝંડા ફરકાવી વિરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:43 am

કર્ણાવતીમાં ધર્મ-સંસ્કૃતિ સંરક્ષણ માટે હિન્દુ સંમેલન:પરશુરામ જયંતિ નિમિત્તે 19 એપ્રિલે યોજાશે

કર્ણાવતીના ઉસ્માનપુરા વિસ્તારમાં ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન આગામી રવિવાર, 19 એપ્રિલ 2026ના રોજ યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવાનો છે. સંમેલનમાં હિંદુ એકતા અને સંસ્કૃતિના સંરક્ષણનો સંદેશ આપવામાં આવશે, જેમાં સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સંમેલન ઉસ્માનપુરા (કર્ણાવતી) સ્થિત ગોકુલ નગર સોસાયટીમાં યોજાશે. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો અને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરાયું છે. આ આયોજન સનાતન જનજાગૃતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનમાં મોટી સંખ્યામાં માતૃશક્તિની બહેનો અને બાળકો પણ જોડાશે, જેઓ દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવશે. આયોજકોએ સૌને આ કાર્યક્રમમાં હાજરી આપી ધર્મ અને સંસ્કૃતિના રક્ષણનો સંકલ્પ લેવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:38 am

દામનગરમાં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ:ઉનાળામાં દૈનિક 500 પરિવારોના 2000 લોકોને મળે છે લાભ

દામનગરની પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા દ્વારા દરરોજ 500 પરિવારોના અંદાજે 2000 લોકોને લાભ મળે છે. આ છાસ વિતરણ દૈનિક સવારે 6:00થી 7:00 કલાક દરમિયાન કરવામાં આવે છે. ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા લાભાર્થીઓને નિયમિતપણે છાસ પૂરી પાડવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળતા આપતી આ છાસ સેવા અનેક લોકો માટે રાહતરૂપ બની છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમીમાં લોકોને તાજગી અને પોષણ પૂરું પાડવાનો છે. આ સેવાકાર્યમાં મનસુખભાઈ નારોલા, જયંતિભાઈ નારોલા, કાંતિભાઈ આસોદરિયા, લાભુભાઈ નારોલા, બુધાભાઈ વનરા, નિખિલભાઈ દીક્ષિત, દીપકભાઈ રાવલ, નટુભાઈ ભાતિયા, ગોરધનભાઈ આસોદરિયા, બી.એલ. ચાવડા અને રવજીભાઈ લાભુભાઈ નારોલા સહિતના સ્વયંસેવકો નિયમિતપણે યોગદાન આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:27 am

વેરાવળમાં ભગવાન પરશુરામની જન્મજયંતી ઉજવાઈ:બ્રહ્મ સમાજે શોભાયાત્રા યોજી, બિલેશ્વર મંદિરે મહાપ્રસાદ કરાયો

વેરાવળમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામની જન્મજયંતી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બિલેશ્વર મંદિરે મહાપ્રસાદ સાથે સમાપ્ત થઈ હતી. સવારથી જ વેરાવળના વિવિધ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને વિવિધ મંદિરોમાં ભોગ ધરાવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ બ્રહ્મ સમાજના યુવા સુજલ પાઠકની આગેવાની હેઠળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા વેરાવળના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં બહેનો, દીકરીઓ અને બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી, જ્યારે બહેનો દ્વારા રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ બ્રહ્મ સમાજના સુજલભાઈ પાઠક, કપિલ મહેતા, મિલનભાઈ જોશી, ધર્મેશભાઈ જોશી, દેવેન્દ્રભાઈ ઓઝા સહિતના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા. વેરાવળ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કરી આગેવાનોનું અભિવાદન કર્યું હતું. આ શોભાયાત્રા બજરંગ મંદિરથી શરૂ થઈ, રેયોન ફેક્ટરી પાસેથી પસાર થઈ અને બિલેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. બિલેશ્વર મંદિરે પહોંચ્યા બાદ સમસ્ત બ્રહ્મ સમાજે પરિવાર સાથે ઉપસ્થિત રહી જ્ઞાતિ એકતાના દર્શન કરાવ્યા હતા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પરશુરામ ભગવાનની જન્મજયંતીની ઉજવણીમાં યુવા વર્ગ સહિત તમામ આગેવાનોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પીઆઈ ગઢવી સાહેબ, પીએસઆઈ પ્રજાપતિ સાહેબ સહિતના પોલીસ વિભાગના સ્ટાફે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ બદલ સમસ્ત બ્રહ્મ સમાજે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:18 am

અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ શરૂ:જમાલપુરના જગન્નાથજી મંદિરે ચંદનયાત્રાની શરૂઆત, અક્ષય તૃતીયાના પાવન દિવસે રથ પૂજન વિધિ યોજાઈ

શહેરમાં પ્રસિદ્ધ રથયાત્રા મહોત્સવને લઈને ધાર્મિક ઉત્સાહ છવાઈ ગયો છે. 149મી રથયાત્રાની તૈયારીઓનો આજે 20 એપ્રિલના પવિત્ર પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ચંદનયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. અક્ષય તૃતીયાના પાવન દિવસે રથ પૂજન વિધિ યોજાઈ, જેમાં સવારે 9:15 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથજીને ચંદન અર્પણ કરીને શુભ શરૂઆત કરવામાં આવી. જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે અક્ષય તૃતીયાના દિવસે રથયાત્રાની સફળતા માટે ચંદનયાત્રા કરીને વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પવિત્ર પ્રસંગને લઈને સમગ્ર શહેરમાં ધાર્મિક અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:58 am

વડેરા ગામે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ:પોથીયાત્રામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પણ જોડાયા

અમરેલી નજીકના વડેરા ગામે અક્ષય તૃતીયાના શુભ દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ધામધૂમપૂર્વક પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. પોથીયાત્રામાં સ્થાનિક લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના માહોલ વચ્ચે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ લોકસંપર્ક માટે આ પોથીયાત્રામાં જોડાયા હતા. મોટા આંકડીયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર ડેની પરમાર ગ્રામજનો સાથે ગરબે ઘૂમ્યા હતા. બીજી તરફ, અમરેલી તાલુકા પંચાયતની વડેરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનીષાબેન સોહલીયા પણ મહિલાઓ સાથે રાસ રમતા જોવા મળ્યા હતા. સ્થાનિક આગેવાન પ્રવીણભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, વડેરા ગામમાં આ શિવપુરાણનું આયોજન ગામના સર્વે પિતૃઓના મોક્ષાર્થે, ગામની શાંતિ અને એકતા માટે તેમજ સર્વે જીવોના કલ્યાણ માટે કરવામાં આવ્યું છે. આ કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:42 am

અમરેલીમાં ફાયર એક્ઝિબિશન યોજાયું:કલેક્ટર અને SP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા એક શામ શહીદ કે નામ કાર્યક્રમ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલા 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ જાગૃત સમાજનું નિર્માણ કરવાનો અને આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાવવાનો હતો. આ એક્ઝિબિશનમાં આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને SP સંજય ખરાત સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટરે વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાંબાઝ કાર્યોને યાદ કરીને ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના ફોરવર્ડ સર્કલ ઉપર નેશનલ ફાયર ડેના ઉપલક્ષમાં જિલ્લામાં મોજૂદ ફાયરના બધા ઇક્વિપમેન્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તેમણે નાગરિકોને અહીં આવીને ફાયર વિશે જાણકારી મેળવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમારી ફાયર ટીમ રાત-દિવસના સમયમાં, ખૂબ ટૂંકા સમયમાં સારો પ્રતિસાદ આપે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી સારી કામગીરી કરીને ઘણા લોકોના જીવ બચાવ્યા છે. અમરેલી SP સંજય ખરાતએ જણાવ્યું હતું કે, ફાયર સર્વિસ વિભાગ તરફથી આ વર્ષે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસીસના ફરજના ભાગરૂપે જે ફાયર સર્વિસીસના જવાનો, અધિકારીઓ, શહાદત ભૂતકાળમાં આપેલી છે એને યાદ કરવા સારું, સાથે-સાથે જાહેર જનતાને, ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટનું જે કામ છે, જાહેર જનતાની જે ફરજ છે, આ ડિપાર્ટમેન્ટનું કામ આપણા સૌના જાન-પ્રોપર્ટીના રક્ષણ માટે કેટલું જરૂરી છે એ જાણવા માટે કોઈ પણ આગનો બનાવ બને, તે બનાવ બનતા અટકાવવા સારું, બનાવ બનેલ હોય ત્યારે કેવી રીતે પ્રક્રિયા કરવી જોઈએ, બન્યા પછી શું તાકીદારી રાખવી જોઈએ તેના ભાગરૂપે આજે અમરેલીમાં ચાર રસ્તા, ફોરવર્ડ સર્કલ ઉપર બહુ સુંદર ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી, ગઢવી સાહેબ તરફથી બહુ સુંદર પ્રદર્શનનું આયોજન કરેલ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:41 am

પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજી

પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે. આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને, ખેડૂતોએ પરંપરાગત બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજન કર્યું હતું. અખાત્રીજને ખેડૂતો માટે નવા કૃષિ વર્ષની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. આ વણજોયા મુહૂર્તના દિવસે ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા ઓજારો અને ટ્રેક્ટર સહિતની વસ્તુઓની પૂજાવિધિ કરે છે. પરિવારની દીકરીઓના હસ્તે પૂજા કરાવીને તેઓ ખેતીનો પ્રારંભ કરે છે અને સારા વર્ષ માટે પ્રાર્થના કરે છે. ખેડૂતો ધરતીને માતા સમાન માને છે અને સારો પાક ઉતરે તે માટે શ્રદ્ધાપૂર્વક ધરતી પૂજન કરે છે. અગાઉ ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા અને બળદોની પૂજા કરતા હતા. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનો પ્રારંભ કરતા હતા. જોકે, ખેતીની પદ્ધતિ આધુનિક બનતા હવે હળ-બળદના બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને મુહૂર્ત કરવામાં આવે છે. પાટણના ખેડૂતોએ પણ ખેતરમાં ઉગમણી દિશાએ ટ્રેક્ટર દ્વારા ખેતીનું મુહૂર્ત કર્યું હતું. આ પૂજાવિધિ દરમિયાન ખેડૂતોએ ટ્રેક્ટરને કંકુ-તિલક કર્યા બાદ ધરતી માતાની પૂજા કરી હતી. ત્યારબાદ લાલ નાડાછડી બાંધી, ગોળ અને ધાણા વહેંચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. આ સાથે જ આવનારું વર્ષ સારું રહે અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:19 am

પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાનું સુરેન્દ્રનગરમાં ભવ્ય સ્વાગત:મુસ્લિમ ભાઈઓએ પુષ્પવર્ષા કરી કોમી એકતાનો સંદેશ આપ્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ઔદિચ્ય બ્રહ્મ સમાજથી પ્રસ્થાન કરીને પરશુરામ ચોક ખાતે પહોંચી હતી. પરશુરામ ચોક ખાતે ભગવાન પરશુરામની ફરસીને ફૂલહાર અર્પણ કરીને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ ભાઈઓએ ભગવાન પરશુરામની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કોમી એકતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ દ્રશ્યએ સર્વધર્મ સમભાવનું પ્રતિક પૂરું પાડ્યું. યાત્રાની પૂર્ણાહુતિ બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાનની મહાઆરતી કરીને કરવામાં આવી હતી. આ અવસરે શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. વીરેન્દ્ર આચાર્ય, જીજ્ઞાબેન પંડ્યા, પંકજભાઈ, દીપકભાઈ સહિત સમાજના કર્મનિષ્ઠ કાર્યકરોએ યાત્રાને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:19 am

બાળકને અપાયું નવજીવન:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ સ્ટાફે ચાર બાળકોના જીવ બચાવ્યા

ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી કાર્યરત સુરેન્દ્રનગર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં બાળકો દ્વારા ગળી લેવાયેલી જોખમી વસ્તુઓના ચાર ગંભીર કેસોમાં એન્ડોસ્કોપી દ્વારા સફળ સારવાર આપવામાં આવી હતી. સમયસર નિદાન અને અદ્યતન એન્ડોસ્કોપિક ટેક્નિકના ઉપયોગથી તમામ બાળકોને કોઈ જટિલતા વિના સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. એક કેસમાં બાળક દ્વારા બે લોહચુંબક ગળી જવાથી આંતરડાંને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી, જ્યારે બીજા કેસમાં બટન બેટરી ગળી જવાથી અંદરના અંગોમાં કેમિકલ બર્ન થવાનો ભય હતો. ત્રીજા કેસમાં ખિલ્લી ગળી જવાથી પેટમાં ઈજા થઈ હતી અને ચોથા કેસમાં બાળક સિક્કો ગળી ગયું હતું, જે પેટમાં પહોંચી જતા તેને અટકી રહેવાની અથવા આગળ વધવાની શક્યતા હતી. ચારેય કેસોમાં કોઈ મોટી જટિલતા નોંધાઈ નહોતી, જે હોસ્પિટલની અદ્યતન એન્ડોસ્કોપી સુવિધા, નિષ્ણાત ટીમની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. જેમાં ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગના નિષ્ણાતો ડૉ. ચિંતન ટેઇલર, ડૉ. નુપુર મહેતા અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. નંદન ઉપાધ્યાયની ટીમે એન્ડોસ્કોપી દ્વારા બાળકોના પેટમાંથી લોહચુંબક, બટન, ખિલ્લી, સિક્કા જેવી વસ્તુઓ સફળતા પૂર્વક કાઢી હતી અને બાળકોને ગંભીર સ્થિતિમાં જતા બચાવ્યા હતા. આમ, સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા દર્દીઓ માટે જીવન ઉદ્ધારક સાબિત થઇ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:32 am

વ્યાજખોરોનો આતંક:બહેનની સગાઇ માટે રૂ. અઢી લાખ વ્યાજે લીધા સામે 3 લાખ ચૂકવ્યા છતાં પત્ની-બહેન વિશે અભદ્ર ટિપ્પણી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં વ્યાજખોરોનો ભરડો યથાવત હોય તેમ વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. લીંબડીમાં મજૂરી કામ કરતા યુવકે બહેનની સગાઈ માટે લીધેલા અઢી લાખ રૂપિયાના બદલામાં વ્યાજખોર દંપતીએ ત્રણ લાખ વસૂલ્યા હોવા છતાં વધુ નાણાં માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે રહેતા કમલેશભાઈ સોંડાભાઈ ચાવડાએ ગત ડિસેમ્બર મહિનામાં બહેનના દાગીના છોડાવવા માટે માલણપુરના રાજુભાઈ ભીખાભાઈ પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 2.50 લાખ લીધા હતા. જેની સામે રાજુભાઈએ શરૂઆતમાં જ રૂ. 20,000 વ્યાજ કાપીને માત્ર રૂ. 2.30 લાખ આપ્યા હતા. ત્યારબાદ કમલેશભાઈએ ટુકડે-ટુકડે અંદાજે રૂ. 3 લાખ જેટલી માતબર રકમ વ્યાજ અને મૂડી પેટે ચૂકવી દીધી હતી. રાજુભાઈને આટલી રકમથી સંતોષ ન થતાં અવારનવાર ફોન કરી ગાળો આપી ધમકી આપતા હતા. ગત 9 એપ્રિલના રોજ આરોપી રાજુભાઈ અને તેમની પત્ની રિંકુબેન છેક લીંબડી કમલેશ ભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઉઘરાણી કરી ધમકી આપી કે, જો પૈસા ન હોય તો તારી પત્ની અને બહેનને ધંધો કરવા મોકલી દે. આટલેથી ન અટકતા, આરોપીઓએ કમલેશભાઈના પિતાને પણ ધમકાવ્યા હતા. અને કહ્યું કે, જો પૈસા નહીં મળે તો તમારા દીકરાને કંઈ પણ થશે તો અમારી પાસે આવતા નહીં. વ્યાજખોર દંપતી વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ અને પરિવાર વિશેની અપમાનજનક ટિપ્પણીઓથી કંટાળીને અંતે કમલેશભાઈએ રાણપુર પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ભીખાભાઈ અને રિંકુબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મની લોન્ડરિંગ અને ધમકીના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરો, દારૂના વેપલો કરતા ઇસમો સહિત ગુનાહિત ગેર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂદ્ધ બોટાદ પોલીસે લાલ આંખ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:31 am

હુમલો:કારખાનામાં આવતા અટકાવ્યા કેમ? 4 શખ્સનો સિક્યોરિટી ગાર્ડ પર હુમલો

મોરબીના જૂના ઘુટું રોડ ઉપર આવેલા એક કારખાનામાં ચાર શખ્સ શંકાસ્પદ રીતે દરવાજો કૂદીને અંદર ઘૂસતા કારખાનાના સિક્યુરિટી ગાર્ડ જોઇ જતાં આ ચારેયને કારખાનામાં જતા અટકાવ્યા હતા. જેથી ચારેય શખ્સે ઉશ્કેરાઈને ચાર પૈકીના એકે લાપી ભરવાના ધારવાળા પતરાથી હુમલો કરી સિક્યુરિટી ગાર્ડના પેટના ભાગે મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ અન્ય ત્રણ શખ્સએ ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને ઢીકાપાટુનો ઢોર માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ હોલો સેનેટરી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મૂળ જામનગર જિલ્લાના વાગુદળ ગામના રહેવાસી અરવિંદભાઈ રામભાઈ રામાવત (ઉ.વ.45) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માનવ કાથરાણી, નવાજ કટિયા, શેરમામદ કટિયા અને ફેજાન મોવર રહે. બધા મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે હોલો સેનેટરી કારખાનામાં પોતાની સિક્યુરિટી ગાર્ડ તરીકેની ફરજ ઉપર હતો ત્યારે માનવ કાથરાણી કંપનીના ગેટ પાસે હાજર હતો અને બાકીના ત્રણ આરોપી બાઈક લઈને કંપનીના ગેટ પાસે આવ્યા હતા ગેટ બંધ હોય ગેટને કૂદીને તે શખ્સએ કંપનીના ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ફરિયાદીએ પૂછ્યા વગર કંપનીની અંદર જવાની ના પાડી હતી જેથી ચારેય શખ્સ ઉશકેરાઈ ગયા હતા અને માનવ કાથરાણીએ લાપી ભરવાનું ધાર વાળું પતરું ફરિયાદીને પેટના ભાગે ઘા મારીને જીવલેણ ઇજા કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીએ માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી સિક્યુરિટી ગાર્ડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:27 am

મંડે પોઝિટીવ:મોરબી શહેરમાં પરિવારની તમામ જવાબદારી વહન‎કરતાં શિક્ષિત મહિલાએ લીધો મૂક સેવાનો ભેખ‎

મોરબીના એક મહિલા કે જે કોઇ સેલિબ્રિટી નથી તેમ છતાં પોતાની વિચારસરણી અને મૂક સેવાના લીધે તે સમગ્ર નારી જાતિ કરતા અલગ અને મુઠી ઉંચેરું વ્યક્તિત્વ ધરાવે છે. કોઇ ગરીબ બાળકની ફી ભરવાની હોય કે દર્દીની મોંઘી સારવાર કરાવવાની હોય કે પછી વૃધ્ધોને ભોજન પહોંચાડવાનું હોય, આ મહિલા સદૈવ અગ્રેસર જ હોય.અહીં વાત થઇ રહી છે સાધનાબેન જગદીશભાઇ ઘોડાસરાની. તેઓ ગેજ્યુએટ છે, બે પુત્રી છે અને પતિ ઉદ્યોગ ધંધામાં સારું કમાતા હોય ખાધેપીધે સુખી સંપન્ન પરિવારના છે. એમનું અંતર-મન હમેશા જે ખુશીઓથી વંચિત હોય એવા બીજા લોકોનું ભલું કરવામાં જ રચ્યું પચ્યું રહે છે તેઓ દ્રઢપણે માને છે કે સમાજનો મોટો સમૂહ જે કોઈને કોઈ અભાવોથી પીડિત છે અને એમને મદદ કરવા માટે ઈશ્વરે આપણને લાયક બનાવ્યા છે. તો આપણે આવા લોકોનું ભલું કરવામાં નિમિત્ત કેમ ન બનીએ ? તેઓએ અનેક ગરીબ બાળકોની શિક્ષણ ફી, જરૂરિયાત મંદ દર્દીઓની મોંઘીમાં મોંઘી હોસ્પિટલમાં સઘન સારવારનો ખર્ચ,ઘર વિહોણા ગરીબોને સ્વપ્નનું ઘર બનાવવામાં તમામ સહયોગ પૂરો પાંડવા જેવી અનેકવિધ સેવપ્રવૃત્તિઓ કરી રહ્યા છે. નાનપણથી માતાપિતા તરફથી બીજાને મદદરુપ થવાનો સદગુણ વારસામાં મળ્યો છે. ઇચ્છા હોય તો એક ટુકડો રોટલી આપીને મદદ થાય‎સાધનાબેનકહે છે કે, તેઓએ ઘણી બધી નારીઓને એવી ફરિયાદ કરતા સાંભળી છે કે એક નારી આખરે કેટલા મોરચે લડી શકે ? લગ્ન પહેલા શિક્ષણ, કેરિયર બનાવવી, ઘરની પણ જવાબદારી તેમજ લગ્ન પછી વર્કિંગ વુમનને સંતાનો ઉછેર, સાસુ સસરા અને પતિની જવાબદારી, પરિવારિક સંબંધો વગેરે. ત્યારે તેઓ કહે છે કે,જહાં ચાહ હે વહા રાહ હે.. મતલબ કોઈને મદદ કરવાની અંતર મનથી ઈચ્છા હોય તો એક ટુકડો રોટલીમાંથી પણ મદદ કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:25 am

આંતરિક વિખવાદ:મોરબીમાં ભાજપના ઉમેદવાર સામે પાટીદાર સમાજમાં નારાજગી, બેનરમાંથી ફોટો હટાવ્યો

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ ઉભી થઈ છે. અહીં એક ઉમેદવાર સામે ઉભો થયેલો સામાજિક વિરોધ પક્ષના આંતરિક વિખવાદમાં ફેરવાઈ રહ્યો છે. વોર્ડ નં. 9ના ભાજપના એક ઉમેદવાર હિરેન કરોતરા સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષનું મૂળ ઉમેદવારના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આક્ષેપ મુજબ, પાટીદાર સમાજની દીકરી સાથે લગ્ન બાદ દંપતી વચ્ચે વિવાદ ચાલતો હોય અને પ્રશ્ન છૂટાછેડા ન આપવાના મામલે સમાજના ચોક્કસ વર્ગોમાં નારાજગી છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં આ મુદ્દો ચૂંટણી પ્રચાર દરમિયાન હવે જોર પકડી રહ્યો છે. આ સામાજિક વિરોધની અસર ભાજપના અન્ય ઉમેદવારો પર પણ પડવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે વોર્ડ નં. 9ની પેનલના અન્ય ત્રણ ઉમેદવારોએ પ્રચાર કાર્યાલયમાંથી વિવાદિત ઉમેદવારનો ફોટો દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, સામાજિક રોષથી બચવા અને પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે અન્ય ઉમેદવારોએ આંતરિક અંતર જાળવવાનું પગલું ભર્યું છે. વોર્ડ નં. 9 એ રાજકીય રીતે અત્યંત મહત્વનો વિસ્તાર છે. અહીં પાટીદાર મતદારોનો ઝુકાવ નિર્ણાયક સાબિત થતો હોય છે. જો આ વિરોધ વકરશે તો ભાજપની આખી પેનલને તેની કિંમત ચૂકવવી પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ૨૬મી એપ્રિલે મતદાન પહેલા ભાજપ આ ''ઘરના ઝઘડા'' અને સામાજિક વિરોધને શાંત કરવામાં સફળ રહે છે કે પછી આ વિવાદ ચૂંટણીના પરિણામોમાં નવો વળાંક લાવશે?

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:23 am

લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો:ગરમી વધતાં લીંબુ શરબતની ડિમાન્ડ વધી પરંતુ ભાવ સાંભળીને ચક્કર આવી જાય તેવી સ્થિતિ

મોરબીમાં કાળઝાળ ગરમીને કારણે ચારેકોર ગરમ લૂ ફૂંકાતા ગરમ લૂથી બચવા જન આરોગ્ય માટે લીંબુ સરબત શ્રેષ્ઠ આરોગ્ય વર્ધક ગણાય, પણ હાલ આગઝરતી ગરમી કરતા લીંબુના ભાવો લોકોને વધુ દઝાડી રહ્યા છે. તેજ સૂર્ય પ્રકોપને કારણે ભાવો આસમાને પહોંચી ગયા છે. જેમાં હાલ દરેક ઘરે લીંબુ માંગ વધી છે, શહેરમાં લીંબુ સરબત સોડાની રેંકડી, દુકાનો, અન્ય ખોરાકમાં લીંબુની જરૂરિયાત હોવાથી એટલી બધી ડિમાન્ડ નીકળી છે કે રાતોરાત ભાવ ઉંચકાયા છે, ભાવ સાંભળીને જ દાંત ખાટા થઇ જાય કે ચક્કર આવી જાય તેવી નોબત આવી પડી છે. ગરમી વધતાં લોકો લીંબુ સરબતના શરણે જઇ રહ્યા છે તો વળી અમુક લોકો લીંબુનો જબરો સ્ટોક કરવા જથ્થાબંધ ખરીદી કરી રહ્યા છે. પાંચ દિવસના ભાવનો સરેરાશ રેશિયોલીંબુના મણ દીઠ ભાવ ક્રમશ: જોઈએ તો પાંચ દિવસ પહેલા લીંબુના મણના 2100 રૂપિયા ભાવ હતો. તેમાંથી એના બીજા દિવસે વધીને 2800 રૂપિયા થયા હતા અને ત્રીજા દિવસે તો લીંબુના મણના ભાવ 3 હજાર રૂપિયાને આંબી ગયા હતા અને ગઈકાલે મણના રૂ.3040 ભાવ થઈ ગયા બાદ શનિવારે મોરબી યાર્ડમાં લીંબુના ભાવ રૂ.3080 એ પહોંચી જતા સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને ગરમીથી બચવા લીંબુ સરબત પીવું દાંત ખાટા કરવા સમાન બની ગયું હતું. માર્ચમાં 2000 આસપાસના ભાવ હતા માર્ચ મહિના પહેલા એટલે માગશર મહિનામાં ઠંડીમાં મણના 1200ની આસપાસ ભાવ હતા. પણ માર્ચ મહિનો શરૂ થતાં ગરમી વધવાની ધીરેધીરે ભાવ વધીને લીંબુના મણના ભાવ રૂ.2000ની આસપાસ થયા હતા. જો કે દસેક દિવસ પહેલા માવઠાને કારણે વાતાવરણ ઠંડુ થતા લીંબુના ભાવોમાં થોડી રાહત થઈ હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:23 am

સુરેન્દ્રનગરમાં બજરંગ દળનો હુંકાર:રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને લેન્ડ જિહાદ સામે કલેક્ટરને આવેદન

દેશમાં વધતી જતી વિકૃત જેહાદી માનસિકતા અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ઉભા થયેલા જોખમોના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંગઠન દ્વારા દેશના સામાજિક તાણાવાણાને તોડવાના ષડયંત્રો સામે કઠોર કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યુ હતુ.જેમાં મુખ્યત્વે પાંચ ગંભીર મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે. જેમાં વ્યવસાયિક ક્ષેત્રો અને સુશિક્ષિત સમાજમાં ફેલાઈ રહેલા ‘લવ જિહાદ'ના જાળા, હિન્દુ કન્યાઓનું શારીરિક શોષણ અને ધર્માંતરણના કિસ્સાઓનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત, સરકારી, વન અને રેલવેની જમીનો પર થઈ રહેલા ગેરકાયદેસર ‘લેન્ડ જિહાદ'ને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે. આવેદનપત્રમાં ખાનગી રાહે ચાલી રહેલી અપવિત્ર ખાન- પાનની ઘટનાઓનો પણ ઉલ્લેખ છે. જે નાગરિકોના સ્વાસ્થ્ય અને ધાર્મિક લાગણીઓ સાથે ખીલવાડ હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમમાં બજરંગ દળના જિલ્લા સંયોજક અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને શાંતિ-સદભાવ જાળવવા અસામાજિક તત્વો પર કાર્યવાહી કસવા વહીવટી તંત્રને અપીલ કરી હતી. બજરંગદળની મુખ્ય માગણીઓ‎રાષ્ટ્રવિરોધી તત્વોને ચિહ્નિત કરી ત્વરિત કઠોર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. સરકારી અને જાહેર જમીનો પરથી તમામ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવવામાં આવે. લવ જિહાદ અને જબરન ધર્માંતરણ રોકવા માટે કડક કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે. જનજાતીય વિસ્તારોમાં શોષણ અટકાવવા વિશેષ સુરક્ષા તંત્ર વિકસાવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:17 am

તડબૂચના ભાવ અને માંગ વધી:સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક અંદાજે 250 મણ તરબુચનુ વેચાણ‎

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના પ્રકોપ વધવા સાથે ઠંડક આપતા કુદરતી ફળોની માંગ વધી છે.જેમાં તરબુચ એ ઉનાળાનું અમૃત કહેવાય તેવુ ફળ હોવાથી તેનીમાંગ વધુ રહે છે.હાલ શહેરમાં ઠેરઠેર તંબુ નાંખી વેચાણ થઇ રહ્યુ છે.ત્યારેગત વર્ષની સરખામણીએ મણે 100રૂપીયા ભાવ વધારો છે.જ્યારે રીટેઇલમાં 25થી 30ના ભાવે વેચાઇ રહ્યા છે.ત્યારે ઉનાળો વધે તેમ માંગ વધવાની વેપારીઓને આશા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ઉનાળો માર્ચના મહિનાના અંતિમ પડાવ તરફ વધવા સાથે સતત ગરમીનો પારો પણ વધી રહ્યો છે.ત્યારે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવા સાથે જનજીવનને અસર થઇ રહી છે.આથી બપોર પડ્યે રસ્તાઓ સુમસામ થઇ જાય છે.ત્યારે ગરમીની અસરથી બચવા લોકો પ્રયાસો હાથ ધરતા હોય છે. જેમાં ઉનાળાની સીઝનનું અમૃત ફળ કહેવાતા તરબુચનું શહેરમાં સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર મુળી રોડ હાઇવે સહિત ઠેરઠેર તંબુ નાંખી વેપારીઓ વેચાણ કરી રહ્યા છે.ત્યારે તાઇવાન જાતના, કીરન, અને બેગ્લોરના પટ્ટાવાળા સાથે ગોળ આકારના દેશી તરબુચની માંગ ઉઠી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ તરબુચના ભાવોમાં વધારો થવા પામ્યો છે. આ અંગે તરબુચના વેપારી રામજીભાઇ ગાબુએ જણાવ્યુ કે ગત વર્ષે તરબુચના 20 કિલો એટલેકે એક મણના ભાવ 250થી 300 હતા જે આ વર્ષે રૂ.300થી 350 પહોંચ્યા છે.જ્યારે ગત વર્ષે રીટેઇલમાં એક કિલોના ભાવ રૂ.20થી 25 હતા.જે બાદમાં 20 થયા હતા અને આ વર્ષ રૂ.25થી 30 રૂપીયા કિલોએ રીટેઇલ વેચાણ થઇ રહ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તરબુચ સોમનાથ, દ્વારકા,વેરાળવળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર,સોલાપુર સહિતથી આવતા હોય છે.માર્ચ મહિનાની શરુઆત સાથે સીઝન સરૂ થાય તો મેના અંત સુધી ચાલતી હોય છે.હાલ દરરોજ બે ટ્રક આવતી હોય છે જેટલો દૈનિક 250 મણ તરબુચનું વેચાણ થતુ હોય છે. જેમ જેમ ઉનાળો આગળ વધે અને ગરમી વધુ પડે તેમ માંગ વધતી રહેશે. ધ્રાંગધ્રા અને ચૂડામાં તરબુચનું વાવેતરસુરેન્દ્રનગર જિલ્લામાં તરબુચની ખેતીમાં પણ ખેડૂતો નવતર પ્રયોગ કરવા સાથે વાવેતરની શરૂઆત થવા પામીછે.જેમાં જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં તરબુચનું વાવેતર થયુ છે જ્યારે ચૂડાના ચાચકા ગામે ખેડૂત તરબુચનું વાવેતર કર્યુ છે. આમ જિલ્લો તરબુચની ખેતીમાં પણ આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહ્યો છે. ઠંડી પ્રકૃતિનું તરબુચ નેચરલ સુગરવાળુ હોવાથી ડાયાબીટીસ હોય તે પણ આહારમાં લઇ શકેઉનાળાની સિઝનમાં પરસેવાના કારણે શરીરમાં પાણી ઓછુ થતુ હોવાથી ગળામાં શોર્ષ પડવો, લૂ લાગવી, તકડાના કારણે માથુ દુ:ખવુ, નબળાઇ રહેવી, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટવાથી શરીરમાં ફેરફારો થાય છે. તરબુચએ ઠંડી પ્રકૃતિનુ ફળ હોવા સાથે તેમાં 70 ટકા પાણી અને નેચરલ સુગર હોય છે.જેના કરણે ડિહાઇડ્રેશન કે બપોરના સમયે ગરમીથી રાહતમાટે ઉનાળામાં શ્રૈષ્ઠ ફળ છે.જે લોકોને યુરીનલ તકલીફ, કબજીયાત રહેતો હોય તો તરબુચનું સેવનથી લાભ રહે છે.જ્યારે નેચરલ સુગરવાળુ હોવાથી ડાયાબીટીસ હોય તે પણ આહારમાં લઇ શકે છે. > ડો.અક્ષય રાવલ વૈદ્ય પંચકર્મ આયુર્વેદાચાર્ય

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:16 am

ઉંમર, સંપત્તિ અને શિક્ષણનો તફાવત:જિલ્લા પંચાયતના 98માંથી 38 ઉમેદવાર નિરક્ષર !‎

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 98 ઉમેદવારોએ પોતાની કુંડળી સોગંદનામું રજૂ કરી દીધી છે. જેમાં ઉંમર, સંપત્તિ અને શિક્ષણનો તફાવતની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ચૂંટણીમાં એક તરફ 23 વર્ષના યુવાનોનું જોશ છે, તો બીજી તરફ 69 વર્ષના વડીલોનો અનુભવ છે. આર્થિક રીતે પણ આ લડાઈ અસમાન છે, જ્યાં એક ઉમેદવાર પાસે બે કરોડથી વધુની મિલકત છે, તો બીજા એક ઉમેદવાર પાસે માત્ર 5000 રૂપિયા જ છે. 98માંથી 38 ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાતના ખાનામાં નથી એટલે કે અભણ હોવાનું જાહેર કર્યું છે. જેમાં 28 મહિલા અને 10 પુરુષોનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો પર મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગમાં સૌથી વધુ ધ્યાન ઉમેદવારોની લાયકાત અને તેમની મિલકતો પર કેન્દ્રિત થયું છે. સૌથી યુવાન ઉમેદવાર માત્ર 23 વર્ષના છે, સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 69 વર્ષના છે, જેઓ દાયકાઓનો રાજકીય અનુભવ ધરાવે છે. એક તરફ એમ.એ. એલ.એલ.બી. અસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 98 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સૌથી વધુ અને ઓછી ઉંમરનું ગણિત આ ચૂંટણીમાં યુવા લોહી અને અનુભવનો સંગમ જોવા મળી રહ્યો છે. વિશ્લેષણ મુજબ, જિલ્લા પંચાયતની આ રેસમાં સૌથી યુવાન ઉમેદવાર માત્ર 23 વર્ષના છે, જે લોકશાહીમાં યુવાનોની વધતી ભાગીદારી દર્શાવે છે. તેની સામે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 69 વર્ષના છે, જેઓ દાયકાઓનો રાજકીય અનુભવ ધરાવે છે. શિક્ષણ: ‘અંગૂઠા છાપ’ થી લઈને ‘વકીલ’ સુધીના મેદાનમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ ઉમેદવારોમાં મોટું અંતર છે. એક તરફ એમ.એ. એલ.એલ.બી. અને એમ.એસસી. જેવી ઉચ્ચ પદવી ધરાવતા પ્રોફેશનલ ઉમેદવારો મેદાનમાં છે, તો બીજી તરફ એવા પણ ઉમેદવારો છે જેઓ નિરક્ષર છે અથવા માત્ર પ્રાથમિક શાળા સુધીનો જ અભ્યાસ ધરાવે છે.સંપત્તિ અને દેવું 30 થી 2.14 કરોડ સુધીની મિલકત આર્થિક વિશ્લેષણમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. સૌથી શ્રીમંત ઉમેદવાર પાસે 2,14,50,000 બે કરોડથી વધુની જંગમ અને સ્થાવર મિલકત છે. જ્યારે આશ્ચર્યજનક રીતે, એક ઉમેદવાર પાસે સોગંદનામા મુજબ માત્ર 5000 જ છે. લોનની વાત કરીએ તો, એક ઉમેદવાર પર 3.17 કરોડથી વધુનું દેવું છે, જે આ ચૂંટણીમાં સૌથી વધુ છે.ને એમ.એસસી. જેવી ઉચ્ચ પદવી ધરાવતા પ્રોફેશનલ ઉમેદવારો મેદાનમાં છે. એક ઉમેદવાર સામે સૌથી વધુ 6 પોલીસ કેસ કુલ 98 ઉમેદવારોમાંથી 10 કોર્ટ કેસ પુરૂષો પર છે એક પુરુષ ઉમેદવાર એવા છે જેમના પર સૌથી વધુ 6 પોલીસ કેસ નોંધાયેલા છે. અન્ય કેટલાક ઉમેદવારો પર 1 કે 2 કેસ છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 48 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. સોગંદનામાના વિશ્લેષણ મુજબ, આ પૈકીની એક પણ મહિલા ઉમેદવાર સામે કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી. ચાર બેઠકો પર અપક્ષ આવતા ચોપાંખીયો જંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગર પાલિકા, પાલિકા, તા.પંચાયત સહિતમાં કોઇને કોઇ ઉમેદવાર બીનહરીફ થયા છે. જેમાં જિલ્લા પંચાયતમાં એક પણ ઉમેદવાર બીનહરીફ નથી જેમાં દરેક બેઠકપર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર છે. અને જ્યારે ચાર બેઠકોપર તો અપક્ષ ઉમેદવારે પણ જંપલાવતા ત્યાં ચોપાંખીયો ચૂંટણી જંગ જામશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:13 am

મંડે પોઝિટીવ:શિક્ષણનો નવો આયામ: પીએમ નવાગામ પ્રાથમિક શાળા બની રાજ્યની ‘મોડેલ સ્કૂલ’

થાન નવાગામ પ્રાથમિક શાળામાં પ્રવેશતા જ વિજ્ઞાન અને પ્રકૃતિનો સંગમ જોવા મળે છે. શાળામાં સ્થાપિત સોલાર ઊર્જાથી ચાલતો ઓટોમેટિક ફુવારો બાળકો માટે કૌતૂહલની સાથે ઉનાળામાં પક્ષીઓ માટે જળધારા બની રહ્યો છે. પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે શાળાએ ‘વેસ્ટમાંથી બેસ્ટ'નો મંત્ર અપનાવ્યો છે. ભંગારમાં પડેલી જૂની બેન્ચોમાંથી આકર્ષક પગરખાં સ્ટેન્ડ બનાવીને બાળકોમાં શિસ્ત અને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.જગ્યાના અભાવ વચ્ચે પણ હરિયાળી ઉભી કરવા માટે નકામી પીવીસી પાઈપ્સમાં વેલીઓ અને ફૂલછોડનું વાવેતર કરીને ‘ વર્ટિકલ ગાર્ડન' તૈયાર કરાયું છે. આ ઉપરાંત, શાળા પરિસરમાં તૈયાર કરાયેલી પારંપરિક ‘હટ' ઝૂંપડી એક ઓપન ક્લાસરૂમ તરીકે કાર્ય કરે છે, જ્યાં બાળકો પ્રકૃતિના ખોળે બેસીને જ્ઞાન મેળવે છે. આ સર્વાંગી પરિવર્તન પાછળ શાળાના આચાર્ય અને ઉત્સાહી શિક્ષકોની મહેનત રહેલી છે. તેમના ઇનોવેટિવ વિચારોને કારણે આજે ગામલોકો અને ઉચ્ચ અધિકારીઓ પણ શાળાની મુલાકાત લઈને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. શાળાનું આ મોડેલ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:11 am

લુણાવાડાનો 593મો સ્થાપના દિન:લુણાવાડાના 593મા સ્થાપના દિને શોભાયાત્રા, લૂણેશ્વર દાદાની મહાપૂજા

વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના પવિત્ર દિવસે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા ઐતિહાસિક નગર લુણાવાડાનો 593મો સ્થાપના દિન અત્યંત હર્ષોલ્લાસ અને પરંપરાગત શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર નગર ઉત્સવના રંગે રંગાયું હતું, ​ આજથી 593 વર્ષ પૂર્વે, ઈ.સ. 1434માં મહારાજા ભીમસિંહે લૂણનાથ બાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વર દાદાની કૃપાથી ‘લાવણ્યપુરી' આજના લુણાવાડા નગરનો પાયો નાખ્યો હતો. 5 સદીઓ વિત્યા પછી પણ આ નગર તેની ભવ્યતા અને સંસ્કારિતા માટે જાણીતું છે. આ મંગલમય દિવસની ઉજવણીના પ્રારંભે સવારે નગરના આદ્ય દેવ લૂણેશ્વર મહાદેવના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૂણેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા બાદ મહારાજા સિધ્ધરાજસિંહ, નગર સ્થાપના દિન ઉત્સવ સમિતિના ચેરમેન અને પાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો અને શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં પાલખી પૂજન કરી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. નગરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં બુરહાની બેન્ડની સૂરાવલિઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મહાનુભાવો અને નગરજનોએ લુણાવાડાના પ્રજાવત્સલ રાજવીઓને આદરપૂર્વક યાદ કર્યા હતા. લુણાવાડાના શાસકોએ શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાઓની સાથે જે આધુનિક નગરરચના અને દીર્ઘદ્રષ્ટિ દાખવી હતી, તેને કારણે જ આજે લુણાવાડા એક સુવ્યવસ્થિત અને સમૃદ્ધ વારસો ધરાવે છે. કાર્યક્રમના અંતે રાજવી પરિવાર સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. લુણાવાડાનો ઇતિહાસ ...લુણાવાડાનું પ્રાચીન નામ આનત્તપુર હતું. ત્યાર પછી સાહિત્યકારોએ તેને લાવણ્યપુર તરીકે ઓળખાવ્યુ અને હાલમાં લુણાવાડા નામ પ્રચલિત છે. મહારાજા ભીમસિંહ પછી મહારાજા ન્હારસિંહે સાશન કર્યું. તેમના સમયમાં લુણાવાડાને ફરતો કિલ્લો ઇ.સ. 1718માં બન્યો હતો. કિલ્લાને તે સમયે પાંચ દરવાજા હતા. જેમાંથી આજે ત્રણ દરવાજા જેમાં બે દરકોલી દરવાજા અને એક શહેરા દરવાજો હયાત છે. લુણાવાડામાં તોપખાનું ઘણુ જ મોટું હતું.રાજા દલેલસિંહે લુણેશ્વર મંદિરની પાછળવાવ બંધાવી, કિસનસાગર અને વસંતસાગર તળાવપણ તેઓએ બંધાવ્યા મહારાણા વખતસિંહને મહારાણી વિકટોરીયાતરફથી KCIEનો ખિતાબ આપવામાં આવ્યો હતો. મહારાણા વખતસિંહના અવસાન પછી રણજીતસિંહના પુત્ર વિરભદ્રસિંહ ઇ.સ. 1930માંગાદીએ આવ્યા હતા. રાજા દલેલસિંહજીએ લુણેશ્વર મંદિરની પાછળ વાવ બંધાવી, કિસનસાગર અને વસંતસાગર તળાવ પણ તેઓએ બંધાવ્યા મહારાણા વખતસિંહજીને મહારાણી વિકટોરીયા તરફથી K.C.I.E.નો ખિતાબ આપવામાં આવ્યો હતો. મહારાણા વખતસિંહના અવસાન પછી રણજીતસિંહના પુત્ર વિરભદ્રસિંહ ઇ.સ. 1930માં ગાદીએ આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:07 am

સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:સંજેલીની ઘર ભૂલેલી અસ્વસ્થ દીકરીને ‘સખી વન સ્ટોપે’ પરિવાર સાથે મિલાવી

દાહોદ જિલ્લામાં સરકારી સેવાઓ સંવેદના સાથે કાર્યરત છે તેનો જીવંત દાખલો ‘સખી વન સ્ટોપ સેન્ટર' દ્વારા પૂરો પાડ્યો છે. સંજેલી તાલુકાના એક માનસિક અસ્વસ્થ બહેન રસ્તો ભટકીને ફતેપુરાના બલૈયા પહોંચ્યા હતા. માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અને પિતાના વ્યસનનો ભોગ બનેલી આ દીકરી માટે સખી વન સ્ટોપ સેન્ટર ખરા અર્થમાં ‘સખી' સાબિત થયું છે. ગત 17 એપ્રિલે 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આ બહેન નિરાધાર હાલતમાં મળી આવ્યા હતા. તેમની સલામતી માટે તુરંત ‘સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી રોહનકુમાર ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ બહેનને તબીબી સારવાર અને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું. કાઉન્સિલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કેન્દ્ર સંચાલકોએ સંજેલીના સ્થાનિક પ્રતિનિધિઓની મદદથી પરિવારની શોધખોળ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ બહેનની સ્થિતિ અત્યંત દયનીય છે. માતાનું અવસાન થયું છે અને પિતા વ્યસનને કારણે દીકરીનું ધ્યાન રાખી શકતા નથી. ભાઈ-ભાભી આર્થિક તંગીને કારણે મજૂરી અર્થે બહારગામ છે. પરિવારની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ દીકરીને લેવા દાહોદ આવી શકે તેમ પણ નહોતા. આથી, અધિકારીઓની સૂચનાથી સેન્ટરનો સ્ટાફ પોતે ગાડી લઈને બહેનને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડી આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:03 am

સેમિકન્ડક્ટર ટેકનોલોજી પર એક્સપર્ટ લેક્ચર યોજાયું‎:દાહોદના એન્જિ.ના વિદ્યાર્થીઓ માટે સેમિકન્ડક્ટરમાં કારકિર્દીના દ્વાર ખુલશે

વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઈનિંગનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે દાહોદના વિદ્યાર્થીઓને આ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાના હેતુથી સરકારી ઈજનેરી કોલેજ ખાતે વિશેષ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજમાં VLSI ડિઝાઇન અને ASIC (ચિપ) નિર્માણ પ્રક્રિયા પર ઉદ્યોગ જગત અને શિક્ષણ જગત વચ્ચે વિચાર-વિમર્શ” વિષય પર એક્સપર્ટ લેક્ચર યોજાયું હતું. જેમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને ઈલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય વક્તા તરીકે ‘પ્રોનોસિસ ટેકનોલોજી’ના ટેકનિકલ નિષ્ણાત ડો.મનન મેવાડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને VLSI ડિઝાઇન અને ASIC ડેવલપમેન્ટ જેવી જટિલ પ્રક્રિયાઓને ખૂબ જ સરળ રીતે સમજાવી હતી. આ ક્ષેત્રમાં થઈ રહેલા વૈશ્વિક પરિવર્તનોની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં ટેકનિકલ કૌશલ્ય ધરાવતા એન્જિનિયરો માટે કારકિર્દીની અપાર તકો રહેલી છે. પ્રો.એબી વાઘેલા અને પ્રો.એનકે સૈનીના માર્ગદર્શન હેઠળ આયોજિત વ્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનની સાથે ઉદ્યોગોના વાસ્તવિક અનુભવો પૂરા પાડવાનો હતો. આ લેક્ચરના માધ્યમથી વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીમાં ચાલતા લેટેસ્ટ ટ્રેન્ડ્સ સમજવા મળ્યા હતા. જે આ ક્ષેત્રમાં રોજગારી મેળવવામાં અને સફળ કારકિર્દી બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:02 am

શૈક્ષણિક ક્ષેત્રે કરાશે ભગીરથ કાર્ય:દાહોદના બિરસા મુંડા ભવનમાં ₹20 લાખના ખર્ચથી આધુનિક લાઈબ્રેરી બનશે

આદિવાસી સમાજના યુવાનો શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ શિખરો સર કરે તેવા ઉમદા હેતુ સાથે દાહોદ સ્થિત બિરસામુંડા ભવનના બીજા માળે આધુનિક લાયબ્રેરી કમ રીડિંગ રૂમના બાંધકામનો આજે 19 એપ્રિલે શુભારંભ કરવામાં આવ્યો છે. અંદાજે ₹20 લાખના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ માટે ટ્રસ્ટીઓ અને સમાજની ઉપસ્થિતિમાં કામગીરી શરૂ કરાઈ છે. આ લાયબ્રેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે અત્યાર સુધી અહીં અભ્યાસ કરી ચૂકેલા 60થી 70 જેટલા યુવાનો વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં સફળ રહ્યા છે. હાલમાં પણ અંદાજે 70 જેટલા વિદ્યાર્થીઓ અહીં નિયમિત 10થી 12 કલાક વાંચન કરે છે. વધતી જતી સંખ્યાને પહોંચી વળવા મેનેજમેન્ટ દ્વારા બીજા માળે વધુ આધુનિક સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. આ ભગીરથ કાર્ય માટે સમાજના અગ્રણીઓએ ઉમળકાભેર ફાળો નોંધાવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ₹3 લાખનું યોગદાન મળ્યું છે, જેમાં રૂપેશભાઈ ગરોડ દ્વારા ₹1,11,111 તથા અગ્રણીઓ દ્વારા પ્રત્યેક ₹25,000નું વિશેષ યોગદાન અપાયું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:01 am

ગુજરાતના ચૂંટણીના રણમેદાનમાં વિકાસના મુદ્દાઓ ગૌણ બન્યા:મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોએ ઇતિહાસના પાના ઊથલાવ્યા, વ્યક્તિગત આક્ષેપો અને આંતરિક બળવાએ માહોલ ગરમ કર્યો

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે ત્યારે સવારે કડીના નંદાસણમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. જ્યારે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંગે બફાટ કરતા કહ્યું કે, જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા. આ નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના પ્રગતિ આહિરે જણાવ્યું કે, તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ. થોડી શરમ તો કરો. ભાજપમાં આવા જ નેતા ભર્યા છે? ઉલ્લેખનીય છે કે, હરિ પટેલ પોરબંદરના સાંસદ રહી ચૂક્યા છે. ગઈકાલે ગાંધીનગરમાં પણ દ્રશ્યો કંઈ અલગ નહોતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ મહિલા અનામત બિલને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જ્યાં સત્તાધારી પક્ષ કોંગ્રેસને 'નારી શક્તિ વિરોધી' ગણાવી રહ્યો છે, ત્યાં કોંગ્રેસ તેને ભાજપની રાજનીતિ ગણાવે છે. પરંતુ, આ વાકયુદ્ધમાં મૂળ પ્રશ્ન એ છે કે, શું આ રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાગરિકોની પાયાની જરૂરિયાતોને ઢાંકી દેવા માટેનું શસ્ત્ર બની રહ્યા છે? આંતરિક બળવા અને જનઆક્રોશનો જ્વાળામુખીજ્યારે નેતાઓ સ્ટેજ પરથી મોટા દાવા કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ મેદાનમાં સ્થિતિ કંઈક અલગ જ હતી. ચાંદખેડામાં 'પેરાશૂટ ઉમેદવાર'નો વિરોધ હોય કે પછી રામોલ-હાથીજણમાં પૂર્વ કોર્પોરેટરને મહિલાઓએ ખદેડી મૂક્યા હોય – આ તમામ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપના ગઢમાં પણ કાર્યકર્તાઓ અને મતદારોમાં ભારે અસંતોષ છે. વડોદરાના વોર્ડ નંબર 10માં પેમ્ફલેટ દ્વારા ઉમેદવારોના ફોટા પર ચોકડી મારીને કરાયેલો વિરોધ એ વાતનો સંકેત છે કે હવે મતદારો માત્ર આશ્વાસનોથી સંતોષાવા તૈયાર નથી. આ તમામ હોબાળા વચ્ચે, કોંગ્રેસે પોતાનું 'વિઝન ડોક્યુમેન્ટ' જાહેર કરીને વિકાસના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. અમિત ચાવડાએ 'પરિવર્તનનો સંકલ્પ' અને 'પંજો' લાવવાની હાકલ કરી છે, પરંતુ ચૂંટણીના માહોલમાં ચાલી રહેલા ગરમાગરમ વિવાદો વચ્ચે આ દસ્તાવેજ મતદારોના મન સુધી કેટલો પહોંચશે, તે એક મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:00 am

'અમે શહેરનો ભાગ છીએ કે નહીં?':ટેક્સ વસૂલાતમાં ‘નંબર વન’, સુવિધાઓમાં ‘શૂન્ય’; વિકાસના દાવાઓ વચ્ચે વોર્ડ 13ના લોકોનો આક્રોશ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ભલે જામ્યો હોય, પણ વોર્ડ નં. 13ની ગલીઓમાં ફરતી વખતે જે અનુભવાય છે તે રાજકીય ઉત્સાહ નથી, પણ વર્ષોથી દબાયેલી વેદના અને તંત્ર પ્રત્યેનો ગહેરો આક્રોશ છે. ભોગાવાના કાંઠેથી લઈને સંસ્કાર કેન્દ્ર સ્કૂલ અને રસાલા સ્કૂલ સુધીના વિસ્તારોમાં રહેતા લોકો એકસૂરે એક જ વાત કરી રહ્યા છે: વહીવટી તંત્રના મતે અમે કદાચ શહેરનો હિસ્સો જ નથી. અહીંના રહીશો જ્યારે ફરિયાદ લઈને જાય છે, ત્યારે તેમને મળતો જવાબ તેમની આંખ ખોલનારો હોય છે – 'તમે તો પછાત વિસ્તારમાં રહો છો, ગામ બહાર છો, તો તમારે કઈ સુવિધા જોઈએ?' આ વાક્ય જ તંત્રની માનસિકતા દર્શાવે છે કે, જેણે આ વિસ્તારને વિકાસની મુખ્યધારાથી કેટલો દૂર રાખ્યો છે. સૌથી મોટી ફરિયાદ ટેક્સ-સુવિધા વચ્ચે વિરોધાભાસ અહીંના લોકોની સૌથી મોટી અને પાયાની ફરિયાદ ટેક્સ અને સુવિધા વચ્ચેના વિરોધાભાસની છે. રહીશો પૂછે છે કે, માર્ચ એન્ડિંગમાં જ્યારે ટેક્સ ભરવાની વાત આવે ત્યારે મ્યુનિસિપાલિટીના માણસો ઘરે પહોંચી જાય છે, પણ જ્યારે પીવાના પાણી માટે ટેન્કરની જરૂર હોય ત્યારે તેમને કેમ પછાત વિસ્તારના બહાના હેઠળ ફગાવી દેવામાં આવે છે? છેલ્લા એક દાયકાથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં વોર્ડ નં. 13માં રહેતા ભરત પરમાર જેવા અનેક લોકો છે, જેઓ છેલ્લા એક દાયકાથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સ્ટ્રીટ લાઈટ હોય, ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા હોય કે ગટર લાઈન – આ વિસ્તાર માટે આ બધું હજુ પણ સ્વપ્ન સમાન છે. ટેક્સના પૈસા વસૂલવામાં તંત્ર પાછું પડતું નથી, પણ લોકોની પ્રાથમિક સુવિધાઓ પૂરી કરવામાં તેનું કામ હંમેશા 'ઝીરો' રહ્યું છે. પાણી એટલું ગંદું કે પશુઓ પણ બીમાર પડી જાય ગંદવાડા તળાવની હાલત આ વિસ્તારની દુર્દશાનું જીવંત ઉદાહરણ છે. સ્થાનિક રહીશ મુળજી કાટોડીયા જે દૃશ્ય વર્ણવે છે તે હચમચાવી દે તેવું છે. જે તળાવ 20 વર્ષ પહેલાં તમામ જ્ઞાતિની મહિલાઓ માટે વપરાશનું મુખ્ય કેન્દ્ર હતું અને જેનું પાણી પીવાલાયક હતું, તે આજે ગંદકીથી એટલું ખદબદી રહ્યું છે કે ત્યાં પશુઓ પણ જાય તો બીમાર પડી જાય છે. વિકાસના બણગા ફૂંકતી સરકારના કાન સુધી કદાચ આ તળાવની દુર્ગંધ નથી પહોંચી, કારણ કે ત્યાં કોઈ જઈ શકે તેવી સ્થિતિ પણ નથી. આ સ્થિતિ કોઈ કુદરતી હોનારત નથી, પણ તંત્રની લાંબા સમયની ઉપેક્ષાનું પરિણામ છે. શાકભાજી વેચનારાઓની રોજીરોટી છીનવાઈ ગઈ આર્થિક અને સામાજિક રીતે પણ આ વોર્ડના લોકો પાયમાલ થઈ રહ્યા છે. ભાવેશ દલવાડી પોતાની વાત રાખતા કહે છે કે, વોર્ડમાં 180 જેટલા નાના વેપારી હતા. જે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા, પણ માર્કેટ તોડી પાડતાં તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ટ્રાફિકની સમસ્યાથી તો લોકો પહેલાથી જ તોબા પોકારી ગયા છે. મહિલા મતદારોની વાત કરીએ તો મંગુબેન જેવા અનેક બહેનોનો અવાજ છે કે, અહીં સફાઈ કરવા વાળું કોઈ નથી આવતું. જ્યારે પાણીની તંગી હોય અને ગંદકીના ગંજ હોય ત્યારે કોઈ નેતા કે અધિકારી તેમની સુધ લેવા આવતા નથી. રાજકારણીઓ આવશે, વાયદા કરશે ને ચાલ્યા જશે ચૂંટણીના સમયે જ્યારે રાજકીય પક્ષો મત માંગવા નીકળશે, ત્યારે વોર્ડ નં. 13ના આ લોકો સામે એક મોટો પ્રશ્ન હશે. અહીંના લોકોનું માનવું છે કે રાજકારણીઓ તો આવશે, વાયદા કરશે અને ચાલ્યા જશે, પણ શું આ વિસ્તારના લોકોને ક્યારેય શહેરના નાગરિક તરીકેનો દરજ્જો મળશે? શું તેમને ક્યારેય એવું અહેસાસ થશે કે તેઓ પણ આ શહેરનો હિસ્સો છે અને તેમને પણ સુવિધાઓ મેળવવાનો પૂરો અધિકાર છે? આ ચૂંટણી માત્ર બેઠકો જીતવાની નથી, પણ આ વિસ્તારમાં રહેતા હજારો લોકોની ગરિમા અને તેમના જીવનધોરણને સુધારવાની છે. લોકો હવે માત્ર નેતાઓને સાંભળવા નથી માંગતા, તેઓ હવે નક્કર કામ અને તેમની સમસ્યાઓનો અંત જોવા માંગે છે. ---- આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… વોર્ડ નં. 4 માં સુવિધાઓના નામે 'મીંડું' વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. વોર્ડ નંબર 4નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'વઢવાણને સ્મશાન બનાવી દીધું' સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની તમામ મહત્વની સંસ્થાઓ પર ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નં. 12માં આ વખતે રસ્તો આસાન નથી. વોર્ડ નંબર 12નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:00 am

PMMVY યોજનાના નામે ઠગાઈ:લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં 5 મહિલાઓ સાઇબર ઠગનો શિકાર બની

દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં સાયબર ગઠિયાઓએ આયોજનબદ્ધ રીતે ગરીબ મહિલાઓને નિશાન બનાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના પૈસા જમા કરાવવાના બહાને ઠગોએ ગામની 5 મહિલાઓના ખાતામાંથી ₹3,000 થી ₹8,000 સુધીની રકમની ઉચાપત કરી છે. આ ભેજાબાજોએ મહિલાઓને ફોન કરીને જણાવ્યું હતું કે,અમે PMMVY ઓફિસથી બોલીએ છીએ અને તમારા સહાયના હપ્તાના પૈસા બાકી છે.’ મહિલાઓને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ જે-તે મહિલાએ ફોર્મમાં આપેલા ખાનગી કાગળો અને વિગતો વોટ્સએપ પર મોકલી હતી. પોતાના જ સરકારી કાગળો મોબાઈલ પર જોઈને મહિલાઓને ખાતરી થઈ હતી કે આ ફોન સત્તાવાર કચેરીએથી જ આવ્યો છે. ત્યારબાદ ‘એકાઉન્ટ વેરિફિકેશન'ના નામે એક લિંક મોકલી તેના પર ક્લિક કરવાનું કહેતા જ ગણતરીની મિનિટોમાં ખાતામાંથી પૈસા સાફ થઈ ગયા હતા આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે આ ગઠિયાઓ પાસે લાભાર્થીઓના નામ, મોબાઈલ નંબર અને તેમણે ફોર્મ સાથે જોડેલા ખાનગી દસ્તાવેજો ક્યાંથી આવ્યા? શું આ ગોપનીય ડેટા કોઈ સરકારી કચેરી કે એજન્સીમાંથી લીક થયો છે? કાળી મહુડી ગામની 5 નિર્દોષ મહિલાઓ શિકાર બન્યા બાદ હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:52 am

ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો:ભીંટોડીમાં કાર 110ની સ્પીડે ઊભેલા કન્ટેનર પાછળ ઘૂસી જતાં 3 બાળકના મોત, 9ને ઈજા

દાહોદ શહેર નજીક હાઈવે પર ભીંટોડી ગામ પાસે રવિવારે બપોરે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાવાગઢ ખાતે કાળકા માતાના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક પરિવારની કાર માર્ગમાં ઊભેલા બંધ કન્ટેનર પાછળ અંદાજે 110 કિમીની પૂરઝડપે ધડાકાભેર ઘૂસી જતાં ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કૈડાવદ ગામનો શ્રદ્ધાળુ પરિવાર નેક્સોન ગાડીમાં સવાર થઈ પાવાગઢ દર્શન કરવા માટે આવ્યો હતો. માતાજીના આશીર્વાદ લઈ રવિવારે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે બપોરના 3.30 વાગ્યાના અરસામાં ભીંટોડી પાસે કાળ ભેટ્યો હતો. રસ્તા પર ઊભેલા એક બંધ કન્ટેનર પાછળ કાર પૂરઝડપે અથડાતા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીના સેન્સર્સ એક્ટિવેટ થતા આગળની સાથે સાઈડની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. અંદર ક્ષમતા કરતા વધુ 12 લોકો સવાર હોવાથી અને ટક્કરની તીવ્રતા વધુ હોવાથી સુરક્ષાના સાધનો નિરર્થક સાબિત થયા હતા. આ ટક્કરમાં માસૂમ બાળકો પ્રિયાંશી ભાભોર, 3 વર્ષીય શુષ્ટિ ગણાવા અને 1 વર્ષીય મોહિની ગણાવા ઈજાઓને કારણે પ્રાણ પંખેરા ઊડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:51 am

નર્મદામાં ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન તેજ‎:રાજપીપળામાં પ્રદેશ પ્રમુખે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો

રાજપીપળા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. રાજપીપળા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમણે જિલ્લાના સહકારી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી ચૂંટણીની વ્યૂહરચના ઘડી હતી. બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકરોને સંદેશ આપ્યો હતો કે, તમામ મતભેદો ભૂલી એકજૂટ થઈ વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા જોઈએ. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, ઘનશ્યામ પટેલ અને જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:48 am

હવામાન વિભાગની આગાહી:ભરૂચ જિલ્લામાં 22 મીએ 14 મિમી વરસાદની આગાહી

ભરૂચ જિલ્લામાં ફરી 22 મીએ 14 મીમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં આ વર્ષે ભર ઉનાળામાં બીજી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરી ખેડૂતોને માથે આફત મંડરાઈ રહી છે. ભરૂચ કૃષિ યુનિવર્સિટી કપાસ સંશોધન કેન્દ્ર ના હવામાન વિભાગના ધવલ કમાણીના જણાવ્યા મુજબ આગામી 22 એપ્રિલે ફરી છૂટા છવાયા કેટલાક સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં અંદાજે 14 મીમી સુધી વરસાદ પડી શકે છે ત્યારે આ માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન નહી થાય તે માટે ખાસ કરીને કેટલીક બાબતો ખેડૂતોને ધ્યાન આપવા માટે સલાહ આપતા જણાવ્યુ છે. કે , પાક સંરક્ષણ માટે ખુલ્લામાં રાખેલા અથવા લણણી કરેલા પાકને તાત્કાલિક તાડપત્રીથી ઢાંકી દો અથવા સુરક્ષિત સૂકી જગ્યાએ ખસેડો જેથી ભેજ અને ફૂગથી નુકસાન ન થાય. બાગાયતી પાકોને તેજ પવન અને અચાનક વરસાદથી કેરીમાં ફળ ખરી પડવાની સમસ્યા થઈ શકે છે અને કેળના પાકને નુકસાન થઈ શકે છે. કેળના છોડને પવનથી બચાવવા યોગ્ય ટેકો આપો પિયત આપવાનું હાલ પૂરતું ટાળો. રાસાયણિક ખાતર, નીંદણનાશક કે જંતુનાશક દવાઓનો છંટકાવ હાલ પૂરતો બંધ રાખો. વરસાદ અને પવનને કારણે દવા ધોવાઈ જશે અને તેની અસરકારકતા ઘટશે. વરસાદ અને પવનને કારણે જંતુનાશક દવાઓ ધોવાઈ જવાની શક્યતા હોવાથી હાલમાં કોઈ પણ પ્રકારનો છંટકાવ કરવો નહીં. આ ઉપરાંત ખેતરમાં પિયત આપવાનું પણ હાલ પૂરતું બંધ રાખવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:47 am

ભરૂચના ગ્રાહકોમાં ખરીદીનો ભારે ઉત્સાહ‎:ભરૂચમાં અખાત્રીજે એક જ દિવસમાં ₹20 કરોડના દાગીનાનું વેચાણ થયું

અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ મુહૂર્તે ભરૂચના સોના-ચાંદીના બજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં સોનાના ઊંચા ભાવ હોવા છતાં લોકોએ શુકનવંતી ખરીદીને પ્રાધાન્ય આપતા એક જ દિવસમાં અંદાજે ₹20 કરોડના સોનાનું વેચાણ થયું હોવાનું વેપારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભરૂચના સ્ટેશન રોડ, કટપોર બજાર અને શક્તિનાથ વિસ્તારમાં આવેલા જાણીતા જ્વેલર્સના શો-રૂમ સવારથી જ ગ્રાહકોથી ઊભરાયા હતા. અખાત્રીજ પર સોનું ખરીદવું અક્ષય (ક્યારેય નાશ ન પામે તેવું) ફળ આપે છે તેવી માન્યતાને કારણે લોકોએ સોનાના સિક્કા, ગીની અને દાગીનાની ભારે ખરીદી કરી હતી. ગ્રાહકોની ભીડને પહોંચી વળવા માટે અનેક જ્વેલર્સે વધારાનો સ્ટાફ પણ તહેનાત કર્યો હતો. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ મુહૂર્તે ભરૂચના સોના-ચાંદીના બજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આગામી સમયમાં લગ્નના મુહૂર્ત હોવાથી અનેક પરિવારોએ અગાઉથી જ ઘરેણાંનું બુકિંગ કરાવી રાખ્યું હતું. જેની ડિલિવરી આજે લેવામાં આવી હતી. જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધુ હોવા છતાં વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીના વાસણો અને સિક્કાઓમાં પણ મોટું ટર્નઓવર નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:46 am

કચ્છનું ગૌરવ:મૂળ કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા હાઈકમિશનર

કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામના અને વરિષ્ઠ રાજનેતા દિનેશ ત્રિવેદીને ભારત સરકારે એક અત્યંત મહત્વની અને વ્યૂહાત્મક જવાબદારી સોંપી છે. પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદીની બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈકમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ પ્રણય વર્માનું સ્થાન લેશે. દિનેશ ત્રિવેદીનો પરિવાર મૂળ કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામનો વતની છે. તેમના પિતા ભાગલા પૂર્વે કરાચીમાં સ્થાયી થયા હતા, પરંતુ દેશના વિભાજન બાદ તેઓ દિલ્હી આવ્યા અને ત્યારબાદ કોલકાતામાં સ્થાયી થયા હતા. 4 જૂન, 1950ના રોજ જન્મેલા દિનેશ ત્રિવેદીએ એમબીએ બાદ કોમર્શિયલ પાયલોટની તાલીમ પણ લીધી હતી. તેમણે 1990માં પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1996માં તેઓ કચ્છ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પુષ્પદાનભાઈ ગઢવી સામે ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ લાંબો સમય TMC (તૃણમૂલ કોંગ્રેસ)માં રહ્યા બાદ 2021માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ 2009 થી 2019 સુધી લોકસભાના સાંસદ અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી તેમજ 2012માં રેલમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા રાજકીય પલટા બાદ ભારત માટે આ નિમણૂક અત્યંત મહત્વની છે. શેખ હસીના બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર અને હવે તારિક રહેમાન વડાપ્રધાન બન્યા બાદ બદલાતા સમીકરણો વચ્ચે દિનેશ ત્રિવેદીની ભૂમિકા નિર્ણાયક રહેશે. કચ્છના આ વિરલ નેતાની નિમણૂક રાજકીય અને રાજદ્વારી બંને દ્રષ્ટિએ માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહી છે. આવી રીતે સમજો નિમણૂક પાછળના મુખ્ય કારણો ઇનસાઇડ ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરીની જાહેરાત કરી હતી વર્ષ 2012-2013માં દિનેશ ત્રિવેદી કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા, ત્યારે ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બનાવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ માત્ર એકાદ વર્ષ સુધી રેલ્વે મંત્રીના પદ પર રહ્યા હોવાથી તેમના કાર્યકાળમાં કોચ ફેક્ટરી શરૂ કરાવી શક્યા ન હતા. અને ત્યાર બાદ યુપીએ કે એનડીએની સરકારે આ જાહેરાતના અમલી કારણ માટે કોઈ પગલા ન લેતા ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બની શકી નથી, તેમના જ કાર્યકાળ સમયે ભુજ શાલીમાર ટ્રેનની જાહેરાત કરીને તેમને જન્મ ભૂમિ અને કર્મભૂમિ વચ્ચેનો ટ્રેનના માધ્યમથી સેતુ બાંધ્યો હતો. ઇન્ટરનેશનલ ડિપ્લોમેસીમાં દિનેશભાઈની મહારત: હેમત રાંભિયાબિદડા ગામના વતની અને પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદીની બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈકમિશનર તરીકે નિમણૂક થતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને બિદડા અને સર્વોદય ટ્રસ્ટ સાથે તેમનો અતૂટ નાતો રહ્યો છે. આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતા બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંતભાઈ રાંભિયાએ જણાવ્યું હતું કે, ત્રિવેદી પરિવાર અને તેમના પરિવાર વચ્ચે વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે. દિનેશભાઈ સર્વોદય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી સક્રિય છે. તાજેતરમાં જ જાન્યુઆરી માસમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં નવી સરકાર સાથે સંબંધોને વધુ મજબૂત કરવા માટે દિનેશ ત્રિવેદીની પસંદગી પાછળ તેમનું ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી પરનું પ્રભુત્વ મુખ્ય છે. અગાઉ ‘ઓપરેશન સિંદૂર બાદ જ્યારે ભારતીય ડિપ્લોમેટ્સનું પ્રતિનિધિમંડળ વિદેશ મોકલવામાં આવ્યું હતું, ત્યારે તેઓ તેમાં સામેલ હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:41 am

મુલાકાત:મુસ્લિમ અગ્રણીઓની અજીત ડોભાલ સાથે મુલાકાત: કચ્છના આગેવાન પણ રહ્યા ઉપસ્થિત

સમગ્ર ભારતના મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, આરોગ્ય અને સમાજ સેવા સાથે સંકળાયેલા આગેવાનોના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મહત્વના પ્રશ્નો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આ રાષ્ટ્રીય સ્તરની મુલાકાતમાં કચ્છના અગ્રણી પણ સામેલ હોવાથી સ્થાનિક સ્તરે આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. આશરે દોઢ કલાક સુધી ચાલેલી આ મહત્વપૂર્ણ મિટિંગમાં દેશભરમાંથી 20 જેટલા પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે ઝફર શરેશવાલા, કે.પી. ગ્રુપના ફારુક પટેલ, જર્મન સ્ટીલના ઈનામુલ હક ઈરાકી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, દિલ્હી હજ કમિટીના ચેરમેન કૌશર જહાં, અલ્તાફ વોરા તેમજ ઝુમ મીડિયા અને અંજુમન મુંબઈના પ્રતિનિધિઓ જોડાયા હતા. વિશેષ રૂપથી કચ્છમાંથી હાજી જુમા રાયમાએ આ બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. NSA અજીત ડોભાલે આ પ્રતિનિધિમંડળને ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે દેશની એકતા અને અખંડિતતા પર ભાર મૂકતા એક સુંદર ઉદાહરણ આપ્યું હતું કે, “ભારતની મિસાલ એક જહાજ જેવી છે, જેમાં હિંદુ અને મુસ્લિમ બંને સવાર છે. જો આ જહાજ કિનારે લાગશે તો બધા જ પાર પડશે અને જો ડૂબશે તો બધા સાથે જ ડૂબશે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના નિર્માણમાં મુસ્લિમ સમાજ પાયાનો પથ્થર છે. વિશ્વના અન્ય મુસ્લિમ દેશોની સરખામણીમાં ભારતનો મુસ્લિમ સમાજ વધુ સુખી અને આઝાદ છે. સરહદી કચ્છ માટે બેઠક વ્યુહાત્મકનોંધનીય છે કે તાજેતરમાં જ હાજી જુમ્મા રાયમા ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેઓએ ચારિત્રને બદનામ કરાતા હોવાના આરોપ હેઠળ 14 શખ્સો સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. જેના વિરોધમાં તેની સામે કચ્છના વિવિધ મુસ્લીમ સમાજના લોકોએ પોલીસ કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું. તે બધાની વચ્ચે હાજી જુમ્મા રાયમાની અજીત ડોભાલ સાથેની મુલાકાત અનેક ચર્ચા ઊભી કરે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:32 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:માંડવીમાં ચૂંટણીને લઈને પાલિકા અચાનક જાગી

માંડવી નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરના આઠ વોર્ડમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. પરંતુ આ વખતે ગરમી ભાષણો અને વચનોમાં જ નહીં, રસ્તાઓ પર પણ સ્પષ્ટ વિકાસ રૂપે દેખાઈ રહી છે. “રાત ઓછી ને કામ વધારે”નો નારો હવે માત્ર પોસ્ટરો સુધી મર્યાદિત નથી રહ્યો તંત્રે તેને અચાનક જ ગ્રાઉન્ડ પર ઉતારી દીધો છે, એ પણ ત્યાં જ્યાં છેલ્લા એક વર્ષથી લોકોના અવાજને માત્ર આશ્વાસનોનો જ સહારો મળતો હતો. વોર્ડ નંબર 6ના ધર્મશાળા રોડ પર સ્થાનિક લોકો લાંબા સમયથી નાના બાળકોની સલામતી માટે જમ્પર બનાવવાની માંગ કરી રહ્યા હતા. ત્રણથી પાંચ વર્ષના નાનકડા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા ફુલવાડી શાળા અને બહુચરાજી વિસ્તારમાંથી આવતા ભૂલકાઓ માટે આ રસ્તો જોખમકારક બન્યો હતો. પરંતુ તંત્રની ઘેરી નિંદ્રાને ચૂંટણીના ઢોલે એવી રીતે જગાડી કે હવે વિકાસનો સ્પીડ બ્રેકર મોડ ફુલ સ્પીડમાં ચાલુ થઈ ગયો છે. ચૂંટણીના પ્રચાર સાથે જ એક વર્ષથી અધૂરું રહેલું કામ રાતોરાત પૂર્ણ કરવામાં આવ્યું. એક જ જમ્પરની માંગ સામે હવે બે મજબૂત સિમેન્ટના જમ્પર નિયમ કરતા વધારે ઊંચા કરી દેવાયા છે અને સાથે એક જૂનો રબર કોટિંગવાળો જમ્પર ઉમેરાયો છે. પરિણામે હવે માત્ર 30 ફૂટના વિસ્તારમાં ત્રણ ત્રણ જમ્પર ઉભા થઈ જતા રસ્તો ઓછો અને “એડવેન્ચર ટ્રેક” વધુ લાગવા માંડ્યો છે. આ પ્રકારની ચૂંટણીપૂર્વ વિકાસ ગાથા માત્ર એક જ વોર્ડ સુધી મર્યાદિત નથી. શહેરના આઠ વોર્ડમાં સમાન દૃશ્યો જોવા મળી રહ્યા છે. વર્ષો સુધી ફાઇલોમાં ઊંઘતું વિકાસ હવે મતના મોસમમાં દોડતું જોવા મળે છેએ પણ ક્યારેક એટલી ઝડપથી કે લોકો સમજી ન શકે કે આ સુવિધા છે કે નવી સમસ્યા. માંડવીની જનતા હવે વધુ સમજદાર બની છે. તેઓ વિકાસના આઅચાનક પ્રેમને જોઈને સ્મિત સાથે કહે છે ચૂંટણી આવે ત્યારે જ 108ની સ્પીડમાં અમને યાદ કરનારાઓ, હવે અમે પણ મત આપતા પહેલા ‘સ્પીડ બ્રેક’ લગાવીને વિચાર કરીશું લોકોનો વ્યંગ : ડ્રાઈવર જ પડી જાય તેવો પ્લાનસ્થાનિક લોકો વ્યંગમાં કહે છે, અકસ્માત ટાળવા માટે જમ્પર બનાવ્યા કે હવે વાહન ધીમું ચલાવતા ચલાવતા ડ્રાઈવર જ પડી જાય તેવો પ્લાન છે બીજી તરફ મત માંગવા આવતા ઉમેદવારો હવે નતમસ્તકે હાથ જોડીને મતદારોને મનાવવા પ્રયત્નશીલ છે, જ્યારે જનતાના મનમાં એક જ પ્રશ્ન ગૂંજે છે ચૂંટણી પછી ફરી કામ માટે કોને હાથ જોડવા પડશે ?

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:30 am

શ્રીહરિસ્મૃતિ પંચાહ્ન પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું:સ્વામિ. મંદિરમાં ઘનશ્યામ જન્મોત્સવ સોનાના પારણામાં ઝુલ્યા ભગવાન

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવનાં આગામી તા.21 એપ્રિલનાં 203મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત હાલે શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞનું હરિભક્તો શ્રધ્ધાભેર શ્રવણ કરી રહ્યા છે. ત્યારે કથા દરમ્યાન ઘનશ્યામ જન્મ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાનને સોનાના પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. ફુલ વર્ષા સાથે ઘનશ્યામ જન્મોત્સવનાં વધામણા કરવામાં આવ્યા હતાં. જ્યારે રાત્રિનાં સમયે નિશાદભાઈ સોની એન્ડ ગ્રૂપ દ્વારા મહારાસોત્સવની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં હરિભક્તો જોડાયા હતાં અને રાસની મોજ માણી હતી. તા. 20નાં સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. આ તકે મંદિરનાં કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી આગામી તા. 21 એપ્રિલનાં નિજ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવનો પાટોત્સવ ઉજવણી અંતર્ગત ચાલી રહેલી પાંચ દિવસીય શ્રીહરિસ્મૃતિ કથા દરમ્યાન ઘનશ્યામ જન્મોત્સવની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ઘનશ્યામનાં બાલ સ્વરૂપને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. ત્યારે સંતો, કથાનાં યજમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તો. તો ભક્તો પણ ઘનશ્યામ જન્મોત્સવનાં રંગે રંગાઈ ગયા હતાં. ઘનશ્યામ જન્મોત્સવને લઈને રાત્રિનાં સમયે મહારાસોત્સવ યોજાયો હતો. જેમાં પણ મોટીસંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતાં અને રાસની રમઝટ બોલાવી હતી.કથાનાં વક્તા તરીકે શા.સ્વામી આનંદવલ્લભદાસજી, શા.સ્વામી પ્રેમવલ્લભદાસજી, શા.સ્વામી કૃષ્ણવલ્લભદાસજી સવારે 8:30થી 11:00અને બપોરે 3:30થી 6:30 સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં સ્વામી વાસુદેવપ્રિયદાસજી અને સ્વામી નીલકંઠમુનિદાસજી સંગીતમાં સાથ આપ રહ્યા છે, જ્યારે સભા સંચાલન શા.સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજી કરી રહ્યા છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, આવતી કાલે તા. 20નાં સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. ઠાકોરજીની શોભાયાત્રા પણ યોજાશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:28 am

મંડે પોઝિટીવ:બાઈક પર મ્યુઝિક સાથે રોજ 100થી વધુ શ્વાનો-ગાયોની સેવા

શહેરમાં રોજ રાત્રે એક વાહનચાલક પોતાના બાઇક પર મ્યુઝિક સિસ્ટમ ચાલુ રાખી, કુતરાઓ અને ગાયોને ખવડાવતા લોકોએ જોયું હશે. રોજ રાત્રે 10 વાગ્યાથી લઈને 1-2 વાગ્યા સુધી ચાલતી આ સેવા એક જીવદયાની જીવંત પ્રેરણા છે. જીગ્નેશભાઈ ખેતશીભાઈ પીઠડીયા (દરજી) માટે આ સેવા એક લાગણીની ઘટના પરથી શરૂ થઈ. પિતાના અવસાન બાદ તેમને સમજાયું કે જીવનમાં સારા કાર્યો જ સાચી મૂડી છે. ત્યારબાદ ઘરે 11 વર્ષથી રહેલી ‘માજી’ નામની કુતરીના અવસાનએ તેમની અંદર સેવાકાર્યનું બીજ બોયું. આજે તેઓ માત્ર કુતરાઓને જ નહીં, પણ ગાયોની પણ સેવા કરે છે. રોજ લગભગ 100થી 120 કુતરાઓ અને 50થી 60 ગાયોને ખવડાવે છે. સવારે શાકભાજી લાવી સાંજે પરિવાર સાથે કટિંગ કરીને તૈયાર કરે છે અને સાથે 15 કિલો પેડિગ્રી પણ આપે છે. બાઈક પર મ્યુઝિક સિસ્ટમ રાખવાનું કારણ પણ રસપ્રદ છે, તેમનું માનવું છે કે, મ્યુઝિક સાંભળીને કુતરાઓ તેમને ઓળખી જાય અને પાસે આવી દોડે છે. શરૂઆતમાં થોડો ડર હતો, પરંતુ હવે પ્રાણીઓ તેમને ઓળખી ગયા છે. ઘણી વખત એવા વિસ્તારોમાં લોકો કહે છે કે, આ કુતરાઓ કોઈની પાસે ખાતા નથી, માત્ર તમારી રાહ જોતાં હોય છે. આ સેવાકાર્યમાં પરિવાર અને મિત્રોનો ઘણો સહકાર છે. લોકો પણ મદદ કરે છે. સાથે જ ક્યારેક નકારાત્મકતા પણ મળે છે, પરંતુ તેઓ એ બધું જતું કરીને સેવા યાત્રા ચાલુ રાખે છે. તેમના માટે સેવાનો સૌથી ક્ષણ એ છેકે, જ્યારે ભૂખ્યા કુતરાઓને ખવડાવ્યા પછી તેમની આંખોમાં જે ખુશી જોવા મળે છે. તે જોઈને પોતાનો બધો થાક ઓગળી જાય છે. દરરોજ 28 કિમીનો રૂટહરસિદ્ધિ સોસાયટીથી શરૂઆત કરી મંગલમ રોડ – મીરજાપર હાઇવે – ત્યાંથી મોટા બંધ નીચે –જ્યુબિલી સર્કલ – મિલિટરી સ્ટેશન અને અંતે કેસર રોડ તથા આરટીઓથી અંદર સિદ્ધિવિનાયક મંદિર રોડ સુધીનો કુલ 14 કિમી સાથે જવાના 14 મળી કુલ 28 કિમીનો રૂટ કવર કરે છે. દિવસભર નોકરી બાદ પણ 2.5 વર્ષથી અવિરત સેવા ચાલુ છેતે છેલ્લા 2.5 વર્ષથી રોજ આ સેવા કાર્ય કરે છે. દિવસભર પ્રાઇવેટ નોકરીમાં મહેનત કરીને થાક લાગ્યો હોવા છતાં, તેમની સેવા પ્રત્યેની લાગણી ક્યારેય ઓછી પડી નથી. આ સેવા કાર્યનો જ્યારથી તેમણે નિર્ણય લીધો છે ત્યારથી, રાત્રિના કોઈ લગ્ન પ્રસંગ હોય કે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાનું પણ ટાળ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:25 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કુકમાથી વાવડી વચ્ચે 9 કિમીનો 6 કલાક સુધી ચક્કાજામ

ભુજ અને અંજારને જોડતો મુખ્ય ધોરીમાર્ગ અત્યારે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે. ભીમાસરથી ધર્મશાળા ધોરીમાર્ગ અંતર્ગત ભુજ- અંજાર ધોરિમાર્ગ પર પડતર રહેલા રેલડી ઓવરબ્રિજના કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે કુકમાથી વાવડી પાટિયા સુધીના 9 કિલોમીટર લાંબા પટ્ટામાં 6 કલાક સુધી ટ્રાફિકના પૈડાં થંભી ગયા હતા, જેને જોતા લોકોમાં ચર્ચા જાગી છે કે રેલડી હવે ભુજોડી જેવી જ ગંભીર ટ્રાફિક સમસ્યાની ‘બેલડી’ બની ગઈ છે. રવિવારે સાંજે સ્થિતિ અત્યંત સ્ફોટક બની હતી. માલવાહક ટ્રકો, એસ.ટી. બસો અને ખાનગી વાહનો કલાકો સુધી રસ્તા પર જ જકડાઈ ગયા હતા. ગરમી વચ્ચે વાહનચાલકોના નાકે દમ આવી ગયો હતો. રાજકોટથી કચ્છ આવેલા મૌલિક શાહના જણાવ્યા અનુસાર, સાડા ચારેક વાગ્યાથી તેઓ આ ટ્રાફિકજામમાં રાત્રે સાવ દસ સુધી ફસાયેલ રહ્યા હતા. ટ્રાફિકના સમાચાર ધ્યાને આવતા મુસાફરોએ પધ્ધર અને ધાણેટી રસ્તો પસંદ કરી મુસાફરી ચાલુ રાખી હતી. માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ સુરક્ષાનો પ્રશ્ન પણ એટલો જ ગંભીર છે. વન-વે રસ્તાઓ અને અચાનક આવતા ડાયવર્ઝનને કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પૂરતી સાઈનબોર્ડની સુવિધા કે લાઈટિંગના અભાવે વાહનચાલકો મૂંઝવણમાં મુકાય છે. રાત્રે પધ્ધર પોલીસ ઇન્સ્પેકટર એ.ડી ખાંટએ ભાસ્કરથી વાત કરતા જણાવ્યું હતું કે, ભુજ અંજાર ધોરીમાર્ગ પર લાંબો ટ્રાફિકજામ થતા સૂચના મળતા જ પધ્ધર પોલીસ સ્થિતિ નિયંત્રણ માટે પહોંચી છે. બીજીતરફ કુકમા ટોલ પ્લાઝા સુધી આ જામની અસર વર્તતા વન વે બ્લોક જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે ઘણીવખત અહીં સ્લો પ્રોસેસના કારણે પણ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો તે ટ્રકને 6 કલાક બાદ રસ્તા પરથી ખસેડવામાં આવી હતી. બ્રિજનું અધૂરું કામ, વાહનચાલકો વન-વેનો ભોગભુજ-અંજાર હાઈવે નવો બન્યો હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રેલડી પાસે છેલ્લા બે વર્ષથી નકશા થકી ઓવરબ્રિજ ન બનતા વાહનોને સાંકડા સર્વિસ રોડ અથવા ડાયવર્ઝન પરથી પસાર થવું પડ્યું હતું. તેમાંય વળી, કુકમા, રતનાલ અને સાપેડા પાસે રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હોવાથી તંત્ર દ્વારા અનેક જગ્યાએ વન-વે જાહેર માર્ગ બનાવી દેવામાં આવ્યો છે. એક તરફથી આવતો ટ્રાફિક બીજી તરફ અટવાતા કુકમા ટોલ પ્લાઝા પાસે વાહનોની લાંબી કતારો દૈનિક ઘટના બની ગઈ છે. ગૂગલમાં પોણો રસ્તો રેડઝોન, ગ્રીનઝોનમાં પણ ટ્રાફિકરવિવારના ટ્રાફિકજામમાં ગૂગલ મેપમાં કેટલાક ભાગમાં મુખત્વે રેડ ઝોન દર્શાવતું હતું, જો કે કે ક્યાંક ગ્રીન ઝોન પણ હતું જ્યાં હકીકતમાં ટ્રાફિકજામ હતો. તેનું કારણ એ છે કે, ગૂગલ મેપ મુખ્યત્વે ક્રાઉડસોર્સિંગ અને આધુનિક અલ્ગોરિધમ પર કામ કરે છે. જ્યારે આપણે સ્માર્ટફોનમાં લોકેશન ચાલુ રાખીને મુસાફરી કરીએ છીએ ત્યારે આપણો ફોન અનામી રીતે ગૂગલને ડેટા મોકલે છે કે આપણે કેટલી ઝડપે આગળ વધી રહ્યા છીએ. જો કોઈ એક ચોક્કસ રસ્તા પર ઘણા બધા ફોન સામાન્ય ગતિ કરતા ધીમી ગતિએ ચાલતા હોય તો ગૂગલનું સર્વર સમજી જાય છે કે ત્યાં ટ્રાફિક જામ છે. આ માહિતીને તે લીલા, નારંગી અને લાલ રંગો દ્વારા નકશા પર દર્શાવે છે. જો કોઈ રસ્તા પર જામ હોય પણ ત્યાં હાજર લોકોના ફોનમાં ઇન્ટરનેટ કે જીપીએસ બંધ હોય તો ગૂગલને એ જામની જાણકારી મળતી નથી અને મેપમાં રસ્તો ખાલી દેખાય છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:25 am

આજે માવઠાની આગાહી:બપોરે તાપમાન ઘટીને 37.8 ડિગ્રી થયું

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતી કાલ તા.20 અને 21 એપ્રિલ બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી લંબાવવામાં આવી છે. ત્યારે આજે માવઠાની આગાહી વચ્ચે સાંજ સુધી તાપમાન ઘટીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ જો કે રાતનું ઉષ્ણતામાન વધીને 26.8 ડિગ્રી થઇ ગયુ હતુ. આજે રવિવારે સાંજે શહેરમાં પવનની ઝડપ 20 કિલોમીટર નોંધાઇ હતી. હાલમાં રાજસ્થાન-મધ્યપ્રદેશ અને પાકિસ્તાનમાં સાઈક્લોનિક સરક્યુલેશન અને ભેજની પટ્ટી (ટ્રફ)ની સિસ્ટમ સક્રિય છે, જેથી 20 અને 21 એપ્રિલે 20થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકશે અને 23 એપ્રિલ સુધી વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલેુ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને. 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જો કે રાતનું લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 26.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે ભેજ સાથે બફારો વધ્યો હતો. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા હતુ જે સાંજે 22 ટકા નોંધાયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 20 કિલોમીટર નોંધાઇ હતી. જેથી ગરમીમાં રાહત રહી હતી. રાત્રે વધતું તાપમાન

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:21 am

વીજકાપ:ભાવનગરમાં કાલે શિવનગર ફીડરમાં છ કલાકનો વીજકાપ

પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-2 ડિવિઝન નીચે આવતા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન સહિત વીજળી લાઈન મરામત કામગીરી અનુસંધાને આગામી તા.20મી થી 24મી એપ્રિલ-2026 સુધી ચાર દિવસ તબક્કાવાર વીજકાપ લદાયો છે. શહેરમાં તા.21મી એપ્રિલને મંગળવારે 11 કે.વી. શિવનગર ફિડરમાં મરામત કામગીરી દરમિયાન સ્વસ્તિક આર્કેડ, પ્લેટિનમ કોમ્પ્લેક્ષ, માધવનગર 1-2-3, નંદગ્રામ સોસાયટી 1-2, રાધેશ્યામ સોસાયટી, ભક્તિનગર 1-2-3, પરમેશ્વરપાર્ક, ટોપ-થ્રી, નંદવિલેજ, લુહાર જ્ઞાતિની વાડી, અમિધારા, શિવપાર્વતિ, શિવસાગર 1-2, તરસમિયા, ખારશી, ટોપ-થ્રી થી ગોપાલનગર, શિવનગર પાટીયા, સ્વપ્નસૃષ્ટી, શિવસૃષ્ટી, ઘનશ્યામનગર, ખોડિયારનગર અને ચંદ્રપાર્ક આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. તા.22મી એપ્રિલને બુધવારે સંસ્કાર મંડળ ફિડર નીચે આવતા રૂપાણી સર્કલ, ગુલીસ્તા મેદાન, ગોળીબાર હનુમાન મંદિરની આસપાસનો વિસ્તાર, આતાભાઈ ચોક, જવાહર મેદાન, તપસીબાપુની વાડીની આસપાસનો વિસ્તાર, કસ્ટમ ઓફિસ આસપાસનો વિસ્તાર, રિલાયન્સ પેટ્રોલ પંપથી સહકારી હાટ સુધીનો રોડ, જોગર્સ પાર્કની આસપાસનો વિસ્તાર, સુરભી મોલ, ઈવા સુરભી, ઘોઘા સર્કલના વિસ્તારમાં વીજકાપ રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:20 am

NEP:3 વર્ષે સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓને બે વિકલ્પ મળશે

નવી શિક્ષણ નીતિ NEP-2020 માં સ્નાતક કક્ષાના કોર્સ ચાર વર્ષના કરવામાં આવ્યા છે. આમ ત્રણ વર્ષના સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત રીતે બે વિકલ્પ રહેલા છે. જેમાં પહેલા વિકલ્પ અંતર્ગત સ્નાતક કક્ષાએ અભ્યાસ ચાલુ રાખી ચાર વર્ષ પછી સ્નાતકની પરીક્ષા આપી ઓનર્સની ડિગ્રી લેવી જ્યારે બીજા વિકલ્પમાં 3+2 પદ્ધતિ પ્રમાણે અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ લઈ બે વર્ષનો અનુસ્નાતકનો કોર્સ કરવો. રિસર્ચ અને OJTના વિકલ્પમાં યુનિવર્સિટીઓ યુજીસીની ગાઈડલાઈન અને ગુજરાત રાજ્યના આદેશ મુજબ 22 ક્રેડિટનો થીયરી અને પ્રેક્ટીકલનો અભ્યાસક્રમનો વિકલ્પ આપી શકશે. જો વિદ્યાર્થી ચાર વર્ષ કરી અનુસ્નાતકમાં એડમિશન મેળવવા માંગે તો તેને ઓછામાં ઓછી 176 ક્રેડિટ મેળવવી પડશે અને જો ત્રણ વર્ષ પછી અનુસ્નાતકના બે વર્ષના કોર્સમાં એડમિશન લેવું હોય તો તેની ક્રેડિટ મિનિમમ 132 થવી જોઈએ. વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના તેમના મેજર અથવા માઇનોર જે વિષય હોય તેમાંથી કોઈ પણ વિષયમાં અનુસ્નાતક માં પ્રવેશ મેળવી શકે છે, આ માટે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષાનું આયોજન પણ કરી શકે. NEP-2020 પ્રમાણે સાતમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીએ કુલ 22 ક્રેડિટ મેળવવી પડશે આમાંથી 16 ક્રેડિટ વિદ્યાર્થી થીયરી અને પ્રેક્ટીકલના વિષયો દ્વારા મેળવશે, જ્યારે એક 4 ક્રેડિટ માઇનોર વિષયમાં મેળવશે જે મુખ્ય વિષય સિવાયનો વિષય હશે. આમ, 22માંથી 16 ક્રેડિટ ચાર મેજર અને એક માઈનોર વિષય દ્વારા વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકશે. હવે, જો ચોથા વર્ષમાં એક મેજર વિષય અને એક SEC આપવામાં આવે તો કોલેજ માટે થોડી અનુકૂળતા રહેશે, પણ જો OJT અથવા ઇન્ટરનશીપ આપવામાં આવે તો તેને માટે ઇવેલ્યુશન રૂબરિક્સ પ્રમાણે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં કુલ માર્ક 100 છે. જેમાંથી 60 ટકા સ્કીલ નોલેજ પ્રોવાઇડર એટલે કે SKP દ્વારા આપવામાં આવશે અને 40% ઇવેલ્યુશન ફેકલ્ટી આપશે. ક્લસ્ટર રચી ઓનર્સ વિથ રિસર્ચમાં પ્રવેશ આપી શકાયગુજરાતની ઘણી બધી કોલેજોમાં ચોથા વર્ષ માટે જરૂરી વ્યવસ્થા ન હોય તો એક ક્લસ્ટર બનાવી તેમાં દરેક વિદ્યાર્થીઓને ઓનર્સ વિથ રિસર્ચના પ્રોગ્રામ હેઠળ પ્રવેશ આપી શકાય. હવે ઘણી બધી યુનિવર્સિટીમાં ચોથા વર્ષને ચલાવવા માટે જરૂરી સંસાધનો ફેકલ્ટીની કમી વગેરે હોવાથી અને અનુસ્થાનક કક્ષાએ ફાજલનો પ્રશ્ન ન થાય તે માટે અનુસ્નાતકના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ અને ઓનર્સનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ એક સરખો અથવા 70% સુધીનો સરખો રાખી શકે છે. > રોહિત દવે, શિક્ષણવિદ

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:20 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:નવાગામના ઢાળ નજીક કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત

વલભીપુરના મોણપુર ગામે રહેતા એક વૃદ્ધ પાન પાર્લરની દુકાનેથી મજુરી કામ કરી ઘરે પરત ફરતા હતા તે વેળાએ કાર ચાલકે પુરપાટ ઝડપે કારને ચલાવી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ સાથે ગમખ્વાર અકસ્માત સર્જતા વૃદ્ધને ફંગોળાયા હતા. જે ઘટનામાં વૃદ્ધને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થતાં તેમને સારવારમાં ખસેડાયા બાદ મોત નિપજ્યું હતું. વલભીપુર તાલુકાના મોણપુર ગામે રહેતા અનિરૂદ્ધસિંહ જોરૂભા રાયજાદા (ઉ.વ.55) નવાગામના ઢાળ પાસે મારૂતી પાન પાર્લરની દુકાને મજુરીકામ કરતા હતા. જે દરમિયાન તેઓ મજુરીકામ કરતી મોડી સાંજે ઘરે પરત ફરતા હતા. તે વેળાએ નવાગામના ઢાળ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ એક પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી અને અનિરૂદ્ધસિંહ કંઇ સમજે એ પહેલા જ કારના ચાલકે અનિરૂદ્ધસિંહ સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતની ઘટનામાં અનિરૂદ્ધસિંહ રાયજાદા ફંગોળાઇને રોડ ઉપર પટકાતા તેમને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે બાદ તેમને ગંભઈર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનામાં ફરાર થયેલા કાર નં. GJ 01 HR 9048નો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. જે મામલે અનિરૂદ્ધસિંહના પુત્ર જયપાલસિંહ રાયજાદાએ અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:19 am

મહિલાઓનું કરાયું સન્માન:ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે \નારી શક્તિ વંદન કાર્યક્રમ'' યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગરના 304માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આયોજિત 'નારી શક્તિ વંદન કાર્યક્રમ' આજે ભાવનગર શહેરમાં સંપન્ન થયો હતો. આ અવસરે શહેરના રેલવે સ્ટેશન ખાતે સવારે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવનગરનું રેલવે સ્ટેશન કે જ્યાં મહિલા કુલી કામ કરી રહી છે જેની સાથો સાથ પેરા ઓલમ્પિક અને નેશનલ લેવલની રમતોમા વિજેતા થયેલા મહિલાઓના યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગૌરવમય બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યા વિહાર કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ધર્મિષ્ઠાબેન દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ કાર્યકરો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અંતે સૌએ નારી સન્માન અને સમાનતાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર આયોજન ભાવનગર શહેર માટે એક પ્રેરણાદાયી અને યાદગાર ક્ષણ બની રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:19 am

મંડે પોઝિટીવ:રોજ ભગવદ્ ગીતાના શ્લોક બાળકોને કંઠસ્થ કરાવતા શિક્ષક

આધુનિક વિશ્વ 21મી સદીમાં પ્રવેશી ચૂક્યું છે.માહિતીનો વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે શાળામાં બાળકને શિક્ષણની સાથે- સાથે મૂલ્ય શિક્ષણ મળે તે પણ ખૂબ જરૂરી છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા ધોરણ 6થી 8માં એક વિષય તરીકે અભ્યાસમાં લેવામાં આવેલ છે, ત્યારે પાલિતાણા તાલુકાની લુવારવાવ પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધો.8નાં બાળકો શ્રીમદ્ ભગવદ્ ગીતાના સુંદર શ્લોકોનું પારાયણ કરે છે. સાથે સંસ્કૃત ભાષા પ્રત્યે બાળક જાગૃત બને અને સંસ્કૃત ભાષા ગમતી થાય તે બાબતને ધ્યાનમાં લઈ શાળાના શિક્ષક જીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ અને આચાર્ય હરેશભાઈ મકવાણા તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શ્લોકનું બાળકોને સરળ ભાવાર્થ કરી આપવામાં આવે છે અને સાથે લખી પણ આપવામાં આવે છે. બાળકએ શ્લોક પાકો કરે પછી રિસેસમાં રેકોર્ડ કરી youtube અને facebook પર મુકવામાં આવે છે. અત્યાર સુધી 280 શ્લોક પૂર્ણ કરેલ છે તેમજ ગીતાજીના 700 શ્લોક પૂર્ણ કરવાનું આયોજન છે. જીતેશભાઇ સાથે સાથે પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે 'પ્રેરણાથી પાંગરતું જીવન' શીર્ષક અંતર્ગત વિવિધ મહાનુભાવોના જીવન ચરિત્રો અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા સતત માર્ગદર્શન આપતા રહે છે. ધો.6થી 8માં શિક્ષણ અંતર્ગત અભ્યાસરાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે છે. જેમાં ધોરણ 6થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્ય વિકસાવવાનો હેતુઆ અભ્યાસક્રમનો અમલ 2022-23 શૈક્ષણિક વર્ષથી શરૂ થયો છે. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્ય વિકસાવવું, સારા-ખરાબની સમજ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધારવી, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનો પરિચય કરાવવો તેમજ સરળ ભાષામાં પસંદ કરેલા શ્લોકો અને શ્લોકોના અર્થ અને જીવનમાં તેનો ઉપયોગ કથાઓ અને ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવે છે. ગીતાના મૂલ્યોથી વિદ્યાર્થીઓના જીવનમાં કૌશલ્ય અને નૈતિક મુલ્યો વિકસે તે મુખ્ય હેતુ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:16 am

કોર્ટના આદેશથી પોલીસની કાર્યવાહી:મૃતક બિલ્ડર મુકેશ જમનાદાસ શાહ સહિત 2 પુત્ર સામે 5 કરોડનો બંગલો પચાવ્યાની ફરિયાદ

અલકાપુરીના મૃતક બિલ્ડર અને ‘રેકવિના ફાર્મા’ કંપનીના માલિક સ્વ.મુકેશ જમનાદાસ શાહ અને બે પુત્રો અમિત અને સુરભિત શાહ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં આવેલો અંદાજે રૂ. 5 કરોડની કિંમતનો બંગલો પચાવી પાડવા માટે મૂળ માલિકની ખોટી સહીઓ કરી, બાનાખત તેમજ દસ્તાવેજ બનાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. કોર્ટના હુકમ બાદ મૃતક પિતા અને બે પુત્રો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા 68 વર્ષીય ડૉ. નીના દશરથ પરીખની માલિકીનો બંગલો (નંબર 36, સંપતરાવ કોલોની, અલકાપુરી) વડોદરામાં આવેલો છે. તેમના પિતાનું જાન્યુઆરી-2003માં અવસાન થયું હતું, પરંતુ તે પહેલાં તેમણે નવેમ્બર-2002માં ડૉ. નીનાના નામે મિલકતનું વસિયતનામું (વીલ) કર્યું હતું. આથી, દશરથભાઈની તમામ મિલકતના માલિક ડૉ. નીના થયા હતા. 1992માં મૃતક મુકેશ જમનાદાસ શાહ (રહે. સંપતરાવ કોલોની, અલકાપુરી)ને આ મિલકત લીઝ (ભાડે) પર આપવામાં આવી હતી. જોકે, પાછળથી તેમણે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2010માં ડૉ. નીનાએ મુકેશ શાહને બંગલો ખાલી કરવા અને બાકી ભાડું ચૂકવવા નોટિસ આપી હતી. જેના જવાબમાં મુકેશે દાવો કર્યો હતો કે, દશરથભાઈએ સપ્ટેમ્બર-2002માં બંગલાનું બાનાખત કરી આપ્યું છે અને માત્ર વેચાણ દસ્તાવેજ બાકી છે. તપાસમાં બહાર આવ્યું કે મુકેશે દશરથભાઈની ખોટી સહી કરી ₹50ના સ્ટેમ્પ પેપર પર બાનાખત ઊભું કર્યું હતું, જેનું નોટરી કે રજિસ્ટ્રેશન થયેલું નહોતું. તે વખતે આ મામલે મુકેશે કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો અને જણાવ્યું હતું કે બાનાખત મુજબની બાકી રકમ ₹15 લાખ ફેબ્રુઆરી-2003માં ચૂકવી દીધી છે. વાસ્તવમાં તે સમયે દશરથભાઈ હયાત જ નહોતા. મુકેશ શાહ અને તેના પુત્રો અમિત તથા સુરભિતે ડૉ. નીનાનો બંગલો પચાવી પાડવાનું કાવતરું રચ્યું હતું. પિતાના અવસાન બાદ તેમની ખોટી સહીઓ અને બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ ગોત્રી પોલીસે મૃતક પિતા મુકેશ જમનાદાસ શાહ અને બંને પુત્રો અમિત અને સુરભિત સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે પુત્રોના નામે બંગલાનો દસ્તાવેજ કરાવ્યોમુકેશ શાહે વર્ષ 2009માં તેના પુત્રો અમિત અને સુરભિતના નામે વેચાણ દસ્તાવેજ, દશરથભાઈની પાવર ઓફ એટર્નીના આધારે સબ-રજિસ્ટ્રારની કચેરીમાં રજિસ્ટર કરાવ્યો હતો. દસ્તાવેજની તારીખે દશરથભાઈ હયાત ન હોવા છતાં, છળકપટથી ખોટો દસ્તાવેજ ઊભો કરી ત્રણેય આરોપીઓએ મિલકત હડપવાનો પ્રયાસ કર્યો હતો. મુકેશ શાહની ગોત્રીની સ્કીમમાં ભારે વિવાદ થયો હતોબિલ્ડર મુકેશ શાહ દ્વારા ગોત્રી-ભાયલી રોડ પર ‘અક્ષર પેવેલિયન’ નામની સ્કીમ મૂકવામાં આવી હતી, જે ભારે વિવાદમાં રહી હતી. આ મામલો રેરા સમક્ષ પણ પહોંચ્યો હતો. ઘણા ગ્રાહકોએ પૂરેપૂરા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં હજુ સુધી કબજો ન મળ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આ બિલ્ડર અન્ય કોઈ વિવાદોમાં સંડોવાયેલો છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:13 am

યુવક ઉપર જીવલેણ હુમલો:છાણી જકાતનાકા પાસે કાસમઆલા ગેંગના સાગરિતોનો યુવક પર હુમલો

શહેરના છાણી જકાતનાકા નજીક યુવકને માથાભારે કાસમઆલા ગેંગના હસન સહિત ત્રણે યુવકને રોકીને માર માર્યો હતો. કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન સુન્ની સામે અરજી કેમ આપી તેમ જણાવી યુવકને માર માર્યો હતો. હાથીખાના ખાતે રહેતો નાવેદઅલી મોહમ્મદઅલી અંસારી ભંગારનું કામ કરે છે. તા.19 એપ્રિલ, રવિવારના રોજ નાવેદ રિક્ષામાં છાણી જકાતનાકા દીપ ટોકીઝ પાસે ગયો હતો. તે પેપર પસ્તી સહિત ભંગાર લઈને નવાયાર્ડ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારેલીબાગ કાસમઆલા ખાતે રહેતો હસન સુન્ની સાથે અન્ય બે ઈસમ આવ્યા હતા. હસન જૂની અદાવત રાખી કહેવા લાગ્યો હતો કે, તે મારા ભાઈ હુસૈન વિરુદ્ધ કેમ અરજી આપી હતી? આ દરમિયાન સાથે આવેલા બે ઈસમે નાવેદને પકડી રાખ્યો હતો, જ્યારે હસને અપશબ્દો બોલીને નાવેદને માર માર્યો હતો. સાથે જ હસને છરો બતાવીને નાવેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે ફતેગંજ પોલીસે ત્રણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:11 am

પ્રજાનો અવાજ:ખોડિયારનગરમાં 1.25 લાખ રહીશોનો પાણીનો પોકાર, રસ્તે દબાણોથી ટ્રાફિક જામની પળોજણ

ખોડિયારનગર વિસ્તાર બે દાયકાથી વિસ્તર્યો છે, પણ વિસ્તારની વસ્તી વધતાં હવે સમસ્યાઓએ માથું ઊંચક્યું છે. વિસ્તારના સવા લાખ લોકોનો પોકાર પાણી માટે છે. વસ્તી વધતાં આ સમસ્યા વકરી છે. પાણીના ટેન્કરો મોકલવામાં કોર્પોરેટરોની વ્હાલા-દવલાવાળીથી રહીશોમાં આક્રોશ છે. કેટલાક ફ્લેટ્સ ટેન્કરો માટે કાગડોળે રાહ જોવા મજબૂર બને છે, ઘણાખરા જાતે ખિસાના રૂપિયા ખર્ચી ટેન્કર મગાવી લે છે. સાથે તંત્રની મહેરબાની કે બેદરકારીથી ફાટી નીકળેલાં દબાણોથી રસ્તા ઘેરાઇ ગયાં છે. પોલિસ કે પાલિકાના અધિકારીઓ જાત જવાબદારી સમજીને કશું નક્કર કરતા નથી અને રજૂઆત કરીને લોકો થાક્યા છે. હવે લાચારીભર્યો અહેસાસ ખાસ કરીને પિક અવર્સમાં નીકળેલા વાહનચાલકોને થાય છે. ઉનાળામાં ખોડિયારનગર ચાર રસ્તા પાસે સાંજે આ સમસ્યાને પગલે ધુમાડિયા ગેસ ચેમ્બરમાં ગૂંગળામણ સહેવાનો વારો આવે છે. કેટલાક રસ્તા અધૂરા છે અને કેટલાક રસ્તે વેરવિખેર કચરાના દૃશ્યો પણ જોવા મળે છે. ટ્રાફિક પોલીસના દર્શન દુર્લભ, વીજ યુનિટના ટેકે પણ દબાણોરહીશો કબૂલે છે કે, વિકાસ કાર્યો માટે રસ્તો ખોદાય, તેથી સંકડામણ સહન કરી લઇએ, પણ કોઇ પીઠબળથી માર્ગ પર ધરાર દબાણ કરે, અમે આપદા ભોગવીએ અને તંત્ર કશું કરે નહીં તેની સામે અકળામણ છે. સાકેત ફ્લેટ સામે વીજ યુનિટની પેટીબંધ માળખાના પાછળના બે અને આગળ રસ્તા પર વાંસ ગોઠવી માથે લાલ પડદો નાખી દબાણ કરાયું છે, અહીંનો રસ ગટગટાવી કોણ તેને હટાવતું નથી તેવી ફજેતી સ્થાનિકો કરે છે. પાણીના સતત ઓછા પ્રેશરને કારણે રહીશો ટેન્કર મગાવવા મજબૂર

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:10 am

મન્ડે ફોટો સ્ટોરી:છાણીના છેવાડે કાટમાળ ફેંકાતાં ભૂખીનો રસ્તો રોકાયો,ફરી જળ બંબાકારનું જોખમ

દુમાડ બ્રિજ નીચેથી સોખડા-છાણી રોડ સમાંતરે વડોદરામાં પ્રવેશતી ભૂખી કાંસ અને આસપાસનો વિસ્તાર કાટમાળનું ડમ્પયાર્ડ બન્યો છે. પાંખી અવર-જવરવાળા વિસ્તારમાં ભૂખી કાંસ લગભગ પૂરાઇ ગઇ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સબ ભૂમિ ગોપાલ કી જેમ આ કાંસ રોજેરોજ પૂરાઇ રહી છે. બે વર્ષ અગાઉ પણ આ જ કાંસ પૂરાતાં છાણીમાં પાણી ભરાયાં હતાં. હવે જો આગામી દિવસોમાં આ કાંસ નહીં ખોલવામાં આવે તો આગામી ચોમાસામાં 25 હજારથી વધુ છાણીવાસીઓ માટે જળ બંબાકારનું જોખમ તોળાયેલું છે. ટીપી ફાઇનલ ન થઇ હોય તો પણ સફાઇ કરવી પડેઆ કાંસના વિસ્તારમાં ટીપી ફાઇનલ ન થઇ હોય તો પણ જનહિતના મુદ્દાને અને એનજીટીના ચુકાદા, ગાઇડ-લાઇનને ધ્યાને રાખી પણ કાંસની સફાઇ કરવી અનિવાર્ય છે. છાણીવાસીઓને આ કાંસની જાણકારી છે તો તેને ડ્રેનેજ વિભાગે સત્તાવાર દરજ્જો કેમ ન આપ્યો. કરોડોના પ્રિમોન્સૂન સરવેમાં આ કાંસ કેવી રીતે રહી ગઇપાલિકા પ્રિમોન્સૂન સરવેની કામગીરીમાં ભૂખી કાંસ કેવી રીતે રહી ગઇ. તાજેતરમાં કાંસોને પહોળી કરવાની અને પાઇપો નાખવાની કામગીરી થઇ રહી છે ત્યારે આ કાંસને પણ છાણીના 25 હજાર જેટલા લોકોનું હિત ધ્યાને લઇને સાફ કરાય તે ઇચ્છનીય છે. લોકેશનની તપાસ કરાવીને શક્ય હોય તો સફાઇ કરાશેહું વિસ્તારમાં 3 વર્ષથી કાર્યરત છું. ચોક્કસ લોકેશન હું ઓળખી રહ્યો નથી. લોકેશનની તપાસ કરાવ્યા બાદ શક્ય હશે તો સફાઇ કરાશે. અગાઉ પણ કાંસ અવરોધાવાથી છાણીમાં પાણી ઘૂસ્યાં હતાં. > નૈષધ શાહ, એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, પૂર્વ ઝોન

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:05 am

મતદાર યાદીમાં છબરડા:દશરથના ભૂદેવને દરબાર બનાવી દીધા,માતા-પિતા અને દીકરાના વોર્ડ અલગ

ચૂંટણી પૂર્વે વડોદરાનાં કેટલાંક ગામોમાં મતદાર યાદીમાં છબરડા જોવા મળ્યા છે. જેમાં દશરથ સહિતનાં ગામોમાં લોકોને જે વોર્ડમાં મકાન હોય તેને બદલે અન્ય વોર્ડમાં મતદાન કરવા જવું પડે તેવી સ્થિતિ છે. જેમાં પિતા-માતા કોઈ એક વોર્ડમાં તો પુત્રને અન્ય વોર્ડમાં વોટ આપવા જવું પડશે. ઉપરાંત દશરથમાં રહેતા વિજયકુમારનું નામ મતદાર યાદીમાં વિજયસિંહ કરી દેતાં ભૂદેવને દરબાર બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અકોટા અને કલાલીમાં મતદારોને 1 કિમી દૂર મત આપવા જવું પડશે. 1100 જેટલા મતદારોને મત આપવા 1 કિમી દૂર જવું પડશેકલાલી ચાણક્ય નગરીમાં સરકારી ઈમારત છે, છતાં 1 કિમી દૂર ગામમાં મતદાન મથક આપ્યું છે. આ મથકમાં 1 બૂથ છે, જેમાં 1100 મતદારો છે. > જય ભટ્ટ, કલાલી-બિલ સરકારી સ્કૂલ તૂટતાં મત આપવા ક્યાં જવું તેની જાણ નથી કરીઅકોટામાં સરકારી સ્કૂલમાં વોર્ડ 12ના 8-10 બૂથ છે. સ્કૂલ તોડી પાડી છે. મતદાન મથક ક્યાં આપે છે તેની જાણ નથી. અકોટા અને આસપાસના 7થી 8 હજાર મતદાર છે. > અયુબ પટેલ, અકોટા હું બ્રાહ્મણ ફળિયામાં રહું છું, મને બ્રાહ્મણમાંથી દરબાર બનાવી દીધો છે હું દશરથના બ્રાહ્મણ ફળિયામાં રહું છું. મતદાર યાદીમાં મારા પુત્રના ઉમંગના નામમાં મારું નામ વિજયકુમારને બદલે વિજયસિંહ કરી દીધું છે. ચૂંટણી કાર્ડમાં મારું નામ વિજયકુમાર છે. તંત્રે મને બ્રાહ્મણમાંથી દરબાર બનાવી દીધો છે. પુત્ર મત આપવા જશે ત્યારે તેને મત આપવા દેવાશે કે કેમ તે સવાલ છે. > વિજયકુમાર જોષી, દશરથ

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:04 am

મંડે પોઝિટીવ:સમિતિની શાળાના વિદ્યાર્થી પત્રકાર બન્યા, ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે કલેક્ટરનો ઇન્ટર્વ્યૂ લીધો, સ્કૂલની ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરશે

શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા પ્રતિભા ન્યૂઝરૂમની શરૂઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓ એન્કર બની સમિતિની સ્કૂલોમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિ અને સરકારી યોજના વિશે સમાચાર પ્રસ્તુત કરે છે. હાલની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વિદ્યાર્થીએ કલેક્ટરનો ઈન્ટર્વ્યુ પણ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ચાલતી પ્રતિભા ન્યૂઝ પર પ્રસ્તુત કરાશે. આ માધ્યમ થકી સમાચાર, ઈવેન્ટ અને વિદ્યાર્થીઓના સિતાર કે હાર્મોનિયમ જેવાં સાધનો વગાડતાં પરર્ફોર્મન્સ પણ બતાવાય છે. શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં 10 માર્ચે પ્રતિભા ન્યૂઝના નામથી સ્ટુડિયો શરૂ કરાયો છે. જેમાં સમિતિના વિદ્યાર્થી એન્કર બની ન્યૂઝ રજૂ કરે છે. પ્રતિભા ન્યૂઝ શરૂ કરવા પાછળ સમિતિની 121 પ્રાથમિક સ્કૂલો અને 10 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ છે. પ્રતિભા ન્યૂઝમાં સમિતિની સ્કૂલોમાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે અને શિક્ષણ વિભાગ દ્વારા કઈ નવી યોજના લવાઈ રહી છે સહિતની બાબતોના સમાચાર પ્રસારિત કરાય છે. શિક્ષકો સમાચાર લખે છે, તે પછી વિદ્યાર્થી એન્કર બની તેને પ્રસ્તુત કરે છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ ન્યૂઝરૂમનું સંચાલન કરશે. બાળકોનો ડર દૂર થયો, પ્રતિભા ખીલીસમિતિની મુખ્ય કચેરીના બીજા માળે પ્રતિભા ન્યૂઝનો સ્ટુડિયો બનાવ્યો છે. વિદ્યાર્થીઓનું ટેલન્ટ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ છે. આ માધ્યમથી તેમનો ડર દૂર થયો છે અને પ્રતિભા ખીલી છે. હાલ 10 સ્કૂલનાં બાળકો જોડાયાં છે. > ડો.વિપુલ ભરતિયા, શાસનાધિકારી, શિક્ષણ સમિત પહેલા અનુભવમાં મને ખૂબ શીખવા મળ્યુંહું અટલાદરાની ડો.શ્યામાપ્રસાદ મુખર્જી કન્યા પ્રા. શાળામાં ધો.7માં અભ્યાસ કરું છું. સ્કૂલમાં કાર્યક્રમ હોય તો એન્કરિંગ પણ કરું છું. મને શિક્ષકે સ્ક્રિપ્ટ આપી હતી. તે પછી મેં ન્યૂઝ વાંચ્યા હતા. મારો પહેલો અનુભવ છે. > ગ્રીષ્ણા રઘુવીરસિંહ રાણા, વિદ્યાર્થિની

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:02 am

આપઘાત:રાજકોટની નાગેશ્વર સોસાયટીમાં જમીન મકાનના દલાલનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં જમીન-મકાનના બ્રોકર તરીકે કામ કરતા એક આધેડે માનસિક તણાવને કારણે ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હતું. પુત્રને રોડ પર બાઈક જોવા મળતા તપાસ કરતા પિતા બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. શહેરના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટી મેઈન રોડ પર આ બનાવ બન્યો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, માધાપર ગામમાં રહેતા મુકેશભાઈ માલદેભાઈ ઘેડિયા (ઉં.વ.62) શનિવારે રાત્રે અંદાજે સાડા આઠેક વાગ્યાના અરસામાં સેન્ટ્રલ બેન્ક નજીક ઝેરી દવા પી લેતા બેભાન થઈ ગયા હતા. મૃતકના પુત્ર રવિએ જણાવ્યું હતું કે, તે નાગેશ્વર રોડ પર જ રહે છે. શનિવારે રાત્રે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સેન્ટ્રલ બેન્ક પાસે પિતાનું બાઈક ઊભેલું જોવા મળ્યું હતું. શંકા જતા તેણે આસપાસ તપાસ કરતા નજીકમાં જ પિતા મુકેશભાઈ બેભાન અવસ્થામાં પડેલા મળી આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:58 am

રાજકોટમાં IPL મેચ પર સટ્ટાબાજી:કોઠારિયા નાકા પાસે 3 શખ્સ ઝડપાયા

IPL 2026 ટી-20 ક્રિકેટ મેચના રોમાંચ વચ્ચે સટ્ટાબાજીનો ધંધો પણ જોર પકડી રહ્યો છે. ત્યારે પોલીસ કમિશનર બ્રાન્ચ (PCB)ની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કોઠારિયા નાકા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ તા. 18 એપ્રિલની મધરાતે PCBના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે કોઠારિયા નાકા પાસે RMCના પે એન્ડ પાર્કિંગની ફૂટપાથ પર રેડ કરવામાં આવી હતી. જ્યાં ત્રણ શખ્સ મોબાઇલ ફોન મારફતે IPL મેચ SRH સામે CSK તથા અન્ય મેચોમાં રનફેર પર રૂપિયા હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે નિસાર પલેજા, રાજ ભાલિયા અને કરણ ધોળકિયા નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેયના મોબાઇલ ફોનમાંથી સટ્ટાબાજી સંબંધિત કોલ હિસ્ટ્રી અને ઓનલાઇન આઈડી મળી આવી હતી. તેમજ તેમની પાસે નોંધપોથીમાં સટ્ટાના આંકડા પણ નોંધાયેલા મળી આવ્યા હતા. પોલીસે કુલ આશરે 28 હજાર રૂપિયાના ત્રણ મોબાઇલ ફોન અને અન્ય સામાન કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઈ-સાક્ષ્ય એપ દ્વારા વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:57 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સ્વામિનારાયણ ચોક પાછળ આવેલો મનપાનો બગીચો હરિયાળીને બદલે ઉજજ્ડ બની ગયો

રાજકોટ મહાનગરપાલિકાની બગીચા શાખાનું એક જ કામ છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવા બગીચા બનાવવા અને તે હરિયાળા રાખવા. જોકે શહેરના પીડીએમ કોલેજ પાછળ આવેલા સ્વામિનારાયણ ચોકમાં ક્રિષ્નાનગરમાં આવેલા પોપટ બગીચાની હાલત હવે બગીચો કહેવા જેવી રહી નથી. તંત્રની ઉપેક્ષાને કારણે આ સ્થળ બગીચાને બદલે વેરાન બની ગયું છે. ક્રિષ્નાનગરમાં રહેતા અશોકભાઈ જણાવે છે કે, આ બગીચાની હાલત દયનીય થઈ ગઈ છે. આ કારણે હવે તેને બગીચો કહેવો પણ યોગ્ય નથી. આ બગીચો બાળકોના રમવા માટે તેમજ સિનિયર સિટિઝનને વોકિંગ કરવા માટે એકમાત્ર સહારો છે. પરંતુ તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. આ મામલે વિસ્તારવાસીઓએ મૌખિક રજૂઆતો કરી છે પણ તંત્ર અને નગરસેવકોના બહેરા કાને રજૂઆતો અથડાઈને પાછી આવી રહી છે. જેથી હવે કોઇ જાગે અને આ સ્થળને ખરેખર બગીચો બનાવે તેવી જરૂર છે. પોપટ બગીચાની આ છે મુખ્ય સમસ્યાઓ

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:56 am

છેતરપિંડીનો મામલો આવ્યો સામે:વૃદ્ધાના માનસિક અસ્થિર પુત્રની જમીન હડપવા ભત્રીજાઓનો પ્રયાસ

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધા કાંતાબેન પ્રવીણભાઈ વિરોજાએ પોતાના માનસિક અસ્થિર પુત્રની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવા મામલે સગાં-સંબંધીઓ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. કાંતાબેનનો મોટો પુત્ર અલ્પેશ આઠ વર્ષ પહેલાં થયેલા અકસ્માત બાદ માનસિક રીતે અસ્થિર છે. આ નબળાઈનો ગેરલાભ ઉઠાવી પરસોત્તમ મૈયાભાઈ અકબરી અને અંકિત શૈલેષભાઈ ભાલોડી નામના શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ અલ્પેશ સાથે નિકટતા કેળવી તેને વાતોમાં ભોળવ્યો હતો અને બાલાજી હોલ પાછળ આવેલી નોટરી ઓફિસે લઈ જઈ સહીઓ કરાવી લીધી હતી. આ રીતે કોટડાસાંગાણીના અરડોઈ ગામની ૧૬ વીઘા જમીનનો માત્ર રૂ. ૧૪ લાખમાં સાટાખત કરાવી લીધો હતો. આ છેતરપિંડીની જાણ પરિવારને નવેમ્બર ૨૦૨૫માં મળેલી નોટિસ બાદ થઈ હતી. વૃદ્ધાનો આક્ષેપ છે કે પોલીસમાં અરજી કરવા છતાં આરોપીઓએ કોર્ટમાં દાવો દાખલ કરી જમીનને વિવાદિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ પોલીસે આ મિલકત હડપવાના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:55 am

રાજકોટ મનપાનો 51 વર્ષનો રાજકીય દસ્તાવેજ:મહાપાલિકાની ચૂંટણીના 8 જંગમાં 7 વાર કેસરિયો લહેરાયો, કોંગ્રેસને માત્ર 1 વાર સત્તાની લોટરી લાગી

સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર અને સ્માર્ટ સિટી રાજકોટ મહાપાલિકાના શાસનની ધૂરા આગામી સમયમાં કોણ સંભાળશે તે માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 18 વોર્ડની 72 બેઠક માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શહેરના 51 વર્ષના રાજકીય ઇતિહાસના પાના ઉથલાવીએ તો એક રોચક ચિત્ર સામે આવે છે. છેલ્લા પાંચ દાયકામાં રાજકોટની પ્રજાએ કેસરિયા પક્ષ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 8 ચૂંટણીમાંથી 7 વાર ભાજપે ભવ્ય વિજય મેળવી 46 વર્ષ શાસન કર્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક ટર્મ (5 વર્ષ) સત્તા ભોગવી શકી છે. આગામી ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. 1981થી 1987: એક બેઠકની પાતળી બહુમતી અને નૈતિકતાનો જંગબીજી ચૂંટણી 1981માં યોજાઈ હતી. દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિને કારણે આ શાસનની મુદત લંબાઈ હતી. આ જંગ અત્યંત રસાકસીભર્યો રહ્યો હતો, જેમાં 51 બેઠકમાંથી ભાજપને 26 અને કોંગ્રેસને 25 બેઠક મળી હતી. માત્ર એક બેઠકની બહુમતી હોવા છતાં ભાજપે મક્કમતાથી શાસન સંભાળ્યું હતું. આ ગાળામાં અરવિંદભાઈ મણિયાર અને વજુભાઈ વાળાએ મેયર તરીકે જવાબદારી નિભાવી હતી. પક્ષપલટાની રાજનીતિ વચ્ચે સ્વ.ચીમનકાકા ત્રિકોણબાગે કરેલા ઉપવાસે નૈતિકતાના ધોરણો સ્થાપ્યા હતા. 1995: 60માંથી 59 બેઠક સાથે ભાજપનો અશ્વમેધ રથરાજકોટના ઇતિહાસમાં 1995નું વર્ષ ઐતિહાસિક રહ્યું. આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. 20 વોર્ડની 60 બેઠકમાંથી ભાજપને 59 બેઠક મળી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી હતી. લાધાભાઈ બોરસદિયા કોંગ્રેસના એકમાત્ર વિજેતા હતા. રસપ્રદ વાત એ છે કે, લોકશાહીના મૂલ્યો જાળવવા ભાજપે આ એકમાત્ર વિપક્ષી સભ્યને નેતાનું પદ અને તમામ સુવિધાઓ આપી હતી. આ જ ટર્મમાં રાજકોટને ભાવનાબેન જોષીપુરાના રૂપમાં પ્રથમ મહિલા મેયર મળ્યા હતા. વિજયભાઈ રૂપાણી અને ઉદયભાઈ કાનગડ જેવા નેતાઓ પણ આ જ સમયગાળામાં મેયર પદે રહ્યા હતા. 2000ની સાલ: કોંગ્રેસને લાગી સત્તાની લોટરીસતત 25 વર્ષના શાસન બાદ વર્ષ 2000માં ‘એન્ટિ-ઇન્કમ્બન્સી’ અને બોર કૌભાંડના આક્ષેપોને કારણે જનતાએ પરિવર્તન કર્યું. સ્વ. મનોહરસિંહજી જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસે 23 વોર્ડની 69 બેઠકમાંથી 44 બેઠક જીતી ઇતિહાસ રચ્યો. અઢી વર્ષની ટર્મના પ્રથમ મેયર અશોક ડાંગર બન્યા હતા. જોકે કોંગ્રેસનું આ 5 વર્ષનું શાસન આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયેલું રહ્યું હતું, જેનો લાભ આગામી ચૂંટણીમાં ભાજપને મળ્યો 2005થી 2021: કેસરિયા પક્ષનું પુનરાગમન અને વર્ચસ્વકોંગ્રેસના શાસનથી નારાજ જનતાએ 2005માં ફરી ભાજપને 59 બેઠક સાથે સત્તા સોંપી. અહીંથી જ ભાજપમાં અઢી-અઢી વર્ષની મેયરની પરંપરા શરૂ થઈ. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર ટક્કર આપી 34 બેઠક મેળવી હતી, છતાં ભાજપ 38 બેઠક સાથે સત્તા ટકાવવામાં સફળ રહ્યું હતું. છેલ્લે 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ફરી 68 બેઠક પર કબજો જમાવી કોંગ્રેસને માત્ર 4 બેઠક પર સીમિત કરી દીધી હતી. આ પરાજય એટલો આકરો હતો કે કોંગ્રેસે વિપક્ષી નેતાનું પદ પણ ગુમાવ્યું હતું. વિસ્તાર વધ્યો, પણ રાજકીય ગઢ અકબંધછેલ્લા 51 વર્ષમાં રાજકોટનું કદ અનેકગણું વધ્યું છે. 1997માં રૈયા, મવા અને મવડી ભળ્યા બાદ 2015માં કોઠારિયા-વાવડી અને 2020માં માધાપર-મુંજકા જેવા 5 ગામનો સમાવેશ થયો. રાજકોટ હવે વિશાળ મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે. સૌથી વધુ સમય મેયર પદ ભોગવવાનો રેકોર્ડ આજે પણ અરવિંદભાઈ મણિયારના નામે છે, જ્યારે વજુભાઈ વાળા બીજા સ્થાને છે. રાજકોટ મનપા ચૂંટણી ઇતિહાસ: એક નજરે આગામી જંગ : ત્રણ પક્ષ વચ્ચે મુકાબલો26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં ભાજપ પોતાના 46 વર્ષ જૂના ગઢને સુરક્ષિત રાખવા મેદાને છે. બીજી તરફ, કોંગ્રેસ વર્ષોનો વનવાસ ખતમ કરવા મથી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા પરિબળ તરીકે મતોમાં ગાબડું પાડવા તૈયાર છે. 1973થી શરૂઆત : જનતા મોરચાએ વિકાસનો પાયો નાખ્યોરાજકોટ મનપા 19-11-1973ના રોજ અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ અહીં નગરપાલિકા શાસન હતું. કોર્પોરેશન બન્યા બાદ સરકારે વહીવટદાર મૂક્યા હતા, પરંતુ લોકશાહી ઢબે પ્રથમ જંગ 1975માં ખેલાયો હતો. આ પ્રથમ ચૂંટણીમાં ભાજપના પૂર્વજ ગણાતા ‘જનતા મોરચા’ એ મેદાન માર્યું હતું. 18 વોર્ડની 51 બેઠકમાંથી જનતા મોરચાને 32 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસ 19 બેઠક પર અટકી ગઈ હતી. પ્રથમ મેયર તરીકે અરવિંદભાઈ મણિયાર ચૂંટાયા હતા, જેમણે 5 વર્ષની ટર્મ દરમિયાન આધુનિક રાજકોટનો પાયો નાખ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:54 am

સિટી એન્કર:બે ઓપરેશન અને કેન્સરનો બેવડો ઘા, છતાં હારી નહીં દૃષ્ટિ,પતિનો પ્રેમ અને સાસુ-સસરાનો સથવારો બન્યા સંજીવની

આજના યુગમાં જ્યારે નજીવી બાબતોમાં લગ્નજીવનના કાંગરા ખરી પડે છે, ત્યારે અમદાવાદની ઘટના સમાજ માટે દીવાદાંડી સમાન છે. આ વાર્તા છે પ્રેમ, અતૂટ વિશ્વાસ અને સાસરિયાં નહીં પણ ‘માવતર’ બનીને ઊભેલા એક પરિવારની. વાતની શરૂઆત થાય છે અમદાવાદના હિતેશભાઈ અને રીટાબેન દોશીની વહાલી દીકરી દૃષ્ટિ અને ભુવનભાઈ તથા નીતુબેન શાહના સુપુત્ર ચિંતનના સંબંધથી. બંને પરિવારોમાં સગાઈની તૈયારીઓ વચ્ચે જ દૃષ્ટિને બ્રેઇન ટ્યૂમર હોવાનું નિદાન થયું. પરિવાર આવા સમયે પીછેહઠ કરવાનું વિચારે, પરંતુ અહીં ચિંતન અને તેના પરિવારે જે કર્યું તે ‘રેરેસ્ટ ઓફ રેર’ છે. ચિંતને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘મારો પ્રેમ આત્મીય છે, શારીરિક બીમારી તેને નબળો પાડી શકે નહીં.’ પુત્રના આ નિર્ણયમાં સાથ આપતા સાસુ નીતુબેન અને સસરા ભુવનભાઈએ દોશી પરિવારને કહ્યું, ‘તમારી દીકરી હવે અમારી દીકરી છે, સાથે મળીને લડાઈ લડીશું.’ પ્રેમ અને હૂંફની શક્તિ મળી, કેન્સર સામેની લડાઈ જીતીઆજે દૃષ્ટિ બીજા ઓપરેશન બાદ સ્વસ્થ થઈ રહી છે. તે તેની સાસુ નીતુબેન સાથે ધ્યાન, યોગનિદ્રા અને મંડલા આર્ટ દ્વારા આનંદમય જીવન જીવી રહી છે. તેને જોઈને કોઈ કહી ન શકે કે તે આટલી મોટી બીમારી સામે લડી રહી છે. શાહ પરિવારની હૂંફ અને તેના ભાઈ નિશાંતની મક્કમતાએ સાબિત કરી દીધું કે, જ્યારે લાગણીઓ મજબૂત હોય ત્યારે મેડિકલ સાયન્સ પણ ચમત્કાર કરે છે. બીજીવાર કેન્સરે ઊથલો માર્યો, લોકોની કડવી વાણી સાંભળી પણ સાસુનો વિશ્વાસ ન ડગમગ્યોદૃષ્ટિ સાજી થઈ, લગ્ન થયા, પણ પ્રથમ એનિવર્સરી પહેલા જ કેન્સરે ફરી ઊથલો માર્યો. આ સમયે સમાજના કેટલાક લોકોએ નીતુબેનને સલાહ આપી કે,‘તમારા દીકરાની જિંદગી બગડી રહી છે, હજુ વિચારી લો.’ ત્યારે નીતુબેને જે જવાબ આપ્યો તે પ્રેરણા લેવા જેવી બાબત છે. તેમણે કહ્યું, ‘મારા દીકરાનું જીવન બગડવાનું તો ઠીક, પણ અત્યારે મારી દીકરી દૃષ્ટિનું જીવન સુધારવું અગત્યનું છે. નહીંતર મારો ઈશ્વર મને માફ નહીં કરે.’

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:50 am

મંડે પોઝિટીવ:મેટોડાની ગુજરાતી શાળામાં હિન્દી ભાષી શ્રમિકોના સંતાનોનું 2 વર્ષથી 100% રિઝલ્ટ

રાજકોટમાં ‘શ્રી શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ’ સંચાલિત ગાયત્રી વિદ્યામંદિર કે જે, ઔદ્યોગિક વિસ્તાર મેટાડામાં આવેલી શાળા આજે એવા પરિવારોના દીવા પ્રગટાવી રહી છે જેઓ હજારો કિલોમીટર દૂર ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોથી અહીં રોજીરોટી કમાવવા આવ્યા છે. આ શાળાની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં અભ્યાસ કરતા 60%થી વધુ વિદ્યાર્થીઓના પરપ્રાંતીય માતા-પિતા સ્થાનિક કારખાનાઓમાં પરસેવો પાડીને મજૂરીકામ કરે છે. આર્થિક સંકડામણ વચ્ચે પણ આ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં છેલ્લા બે વર્ષથી ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં શાળાનું 100 % પરિણામ મેળવીને મોટી નામના ધરાવતી ખાનગી શાળાઓને પણ પાછળ છોડી દીધી છે. સંસ્થા માત્ર ભણાવતી જ નથી, પણ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાની ભાવના જાગે તે માટે વિદ્યાર્થીઓ 80 %થી વધુ ગુણ મેળવે તો તેમને 10,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરે છે. વર્ષ 1985માં શિવલાલભાઇ વેકરિયા દ્વારા સ્થાપવામાં આવેલી આ ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં હાલ ધોરણ 9 અને 10ના કુલ 92 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. શાળાના સંચાલકો અને શિક્ષકો માત્ર પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત નથી. તેઓ દરેક વંચિત વિદ્યાર્થીને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીથી લઈને ઈતર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર અહીં ભાર મૂકવામાં આવે છે. ટ્રસ્ટના પ્રમુખ ઉમેશભાઇ વેકરિયા જેનું માનવું છે કે, કોઇ પણ દાન કરતા શિક્ષાનું દાન ખૂબ મોટું છે. આ તકે પ્રિન્સિપાલ પ્રદીપભાઇ નરોડિયાએ જણાવ્યું હતું કે, શાળામાં કુલ 6નો સ્ટાફ છે જેમાં 3 શિક્ષિકા જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન રોકાઇને વિદ્યાર્થીઓ પર ધ્યાન અપાય છે. જેમાં કોની કેટલી જરૂરિયાત છે તે મુજબ અલગ-અલગ ગ્રૂપ પાડવામાં આવે છે અને શિક્ષા અપાય છે. સંઘર્ષની અનોખી મિશાલ: ભૂતપૂર્વ વિદ્યાર્થી ક્લાસ-2 ઓફિસર, તો કોઇ કમાન્ડો તરીકે કે દિલ્હી CRPFમાં ફરજ બજાવે છે બગથરીયા કુલદીપ આ જ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેના પિતા વાળંદની નાની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં શાળાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ ચાલુ રાખ્યો. આજે આ મહેનત રંગ લાવી છે અને કુલદીપ જામનગર કોર્પોરેશનમાં ક્લાસ-2 અધિકારી તરીકે ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહ્યો છે. એક સમયે જે પિતાએ પુત્રના ભવિષ્ય માટે દુકાને પરસેવો પાડ્યો હતો, આજે તે જ માતા-પિતા ગૌરવભેર તેમના અધિકારી પુત્ર સાથે જામનગરમાં સ્થાયી થયા છે. આ ઉપરાંત આવા ઘણાં ભૂતપૂર્વ વિદ્યાર્થીના કિસ્સા છે જેમાંથી બાલસર ગામના જગદીશ મૈત્રા આજે કમાન્ડો તરીકે ફરજ બજાવે છે જ્યારે જય ભડેલિયા આજે દિલ્હી CRPFમાં ફરજ બજાવે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:49 am

ભાસ્કર એક્સક્લુસિવ:રાજકોટમાં 25816 શ્વાન, બચકું ભરે તો મનપા ફરિયાદ લેશે, પાછળ દોડે તો નહીં

રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે નાગરિકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. સરકારની કડક સૂચના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ખાનગી એજન્સી મારફતે શહેરના તમામ વોર્ડમાં સરવે કરાવ્યો હતો, જેમાં શહેરમાં કુલ 25,816 રખડતા શ્વાન હોવાનો સત્તાવાર રિપોર્ટ આવ્યો છે. જોકે આ ભયજનક આંકડા વચ્ચે મનપાના તંત્રએ વિચિત્ર અને આઘાતજનક વલણ અપનાવ્યું છે. હવેથી શહેરમાં જો કોઈ શ્વાન જોરજોરથી ભસીને લોકોની ઊંઘ હરામ કરતું હોય અથવા વાહનચાલકો પાછળ દોડીને અકસ્માત સર્જતું હોય, તો તેની ફરિયાદ મનપા દ્વારા લેવામાં આવશે નહીં. તંત્રએ મૌખિક રીતે એવું નક્કી કર્યું છે કે, જો શ્વાન કોઈ નાગરિકને બચકું ભરે (ડોગ બાઈટ) તો જ તેની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે.તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનના ત્રાસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, દરેક મનપા અને નગરપાલિકાએ શ્વાનનો સચોટ સરવે કરી નાગરિકોને રક્ષણ આપવાની જવાબદારી નિભાવવી પડશે. આ આદેશના પગલે રાજકોટ મનપાએ શહેરની 7 સરકારી હોસ્પિટલ સહિત કુલ 39 હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને મનપા સંચાલિત તમામ શાળાઓને પરિપત્ર પાઠવ્યો છે. આ સંસ્થાઓના ગ્રાઉન્ડ કે પરિસરમાં શ્વાન ઘૂસી ન જાય તે માટે તાત્કાલિક ફેન્સિંગ અથવા બાઉન્ડ્રી વોલ બનાવવા આદેશ અપાયો છે. આ ઉપરાંત દરેક એકમમાં એક નોડલ ઓફિસરની નિમણૂક કરી સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રના આદેશ બાદ શરૂઆતમાં શ્વાન પીડિતોની ફરિયાદો લેવાનું શરૂ કરાયું હતું, જેમાં રાત્રિના સમયે ભસતા શ્વાન અંગેની અરજીઓનો ધોધ વછૂટ્યો હતો. જોકે ફરિયાદોની સંખ્યા વધતા તંત્રએ નિયમોમાં છૂટછાટ લીધી છે. હવે જો કોઈને શ્વાન કરડ્યું હોય અને તે વ્યક્તિ હોસ્પિટલના સારવારના કેસ પેપર સાથે ફરિયાદ કરે, તો જ તે વિસ્તારમાંથી શ્વાનને જપ્ત કરવામાં આવે છે. આવા શ્વાનને 15 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ ફરી એ જ વિસ્તારમાં છોડી દેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.બીજી તરફ, મનપાના પ્રાણી રંજાડ વિભાગના અધિકારીઓ અત્યારે બેવડી મુસીબતમાં મુકાયા છે. એક તરફ સામાન્ય નાગરિકો શ્વાનના આતંકથી મુક્તિ માગે છે, તો બીજી તરફ જીવદયાપ્રેમીઓ શ્વાન પર થતા અત્યાચારો અને તેને પકડવાની કામગીરી સામે તંત્ર પર ભારે દબાણ કરી રહ્યા છે. શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓને મનપાનો આદેશમનપાએ અર્બન હેલ્થ સેન્ટરો, ગવર્નમેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓ કે જેમના મોટા પરિસર છે, તેમને કડક સૂચના આપી છે કે રખડતા શ્વાન પ્રિમાઇસીસમાં ઘૂસી ન જાય તેની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે. આ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરી મોનિટરિંગ વધારવા જણાવાયું છે. રાજકોટમાં શ્વાન સરવે અને ફરિયાદના નવા નિયમો લોકો રાત્રે પર્સનલ નંબર પર ફોન કરી હેરાન કરે છે: તંત્રસુપ્રીમ કોર્ટના આદેશ બાદ શ્વાનના ત્રાસ અંગેની ફરિયાદોમાં મોટો ઉછાળો આવ્યો છે. મનપાના પ્રાણી વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, લોકો સિવિક સેન્ટરમાં ફરિયાદ કરવાને બદલે ગમે ત્યાંથી અમારા પર્સનલ મોબાઈલ નંબર મેળવી લે છે. રાત્રે જ્યારે અમે સુતા હોઈએ ત્યારે પણ ‘અમારા ઘર પાસે શ્વાન ભસે છે’ તેવી ફરિયાદો કરવા ફોન આવે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:46 am

મતદાનના દિવસે થશે અગનવર્ષા:રાજકોટમાં 26મીએ તાપમાન 43 ડિગ્રી થવાની શક્યતા

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે કુદરત પણ આ ગરમીમાં વધારો કરવા તૈયાર છે. આગામી 26મી એપ્રિલે જ્યારે કોર્પોરેશન, પંચાયત અને નગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે, ત્યારે જ રાજકોટમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મતદાનના દિવસે તાપમાન 42 ડિગ્રીને પાર કરીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રવિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.3 ડિગ્રી રહ્યું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 22 એપ્રિલ સુધી તાપમાન 39થી 41 ડિગ્રીની રેન્જમાં સામાન્ય રહેશે. પરંતુ, 23મી એપ્રિલથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગરમીનો પારો 40.5થી 43 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે. અત્યારના સ્તર કરતા તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 5 શહેરમાં ગરમીનો પારો 41Cને પાર પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ગરમીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. રવિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતા 1.5 ડિગ્રી વધીને 40.9 ડિગ્રી (રાઉન્ડ ફિગર 41C) નોંધાયું છે. હવામાન વિભાગના લેટેસ્ટ ડેટા અનુસાર, આગામી 7 દિવસ રાજકોટવાસીઓ માટે આકરા સાબિત થશે કારણ કે પારો સતત 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હીટવેવથી બચવા સવારે 10 વાગ્યા સુધીમાં જ મતદાન કરી લેવું હિતાવહ1. લોકશાહીનો ઉત્સવ : મતદાન એ લોકશાહીનો ઉત્સવ છે, પરંતુ 43 ડિગ્રી ગરમીમાં તમારી તબિયત ન બગડે તે માટે આટલું ખાસ ધ્યાન રાખવું. 2. વહેલી સવારે મતદાન : બપોરની કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા માટે સવારે 7થી 10 વાગ્યાના સમયમાં જ મતદાન કરી લેવું હિતાવહ છે. 3. હાઇડ્રેટેડ રહો : ઘરની બહાર નીકળતા પહેલા પૂરતું પાણી પીવો. સાથે પાણીની બોટલ, લીંબુ શરબત કે છાશ રાખી શકાય જેથી ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય. 4. પહેરવેશ : સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરો. માથું ઢાંકવા માટે રૂમાલ, ટોપી કે છત્રીનો ઉપયોગ ચોક્કસ કરો. 5. સિનિયર સિટીઝન : વડીલો અને બાળકોને બપોરના સમયે લાઈનમાં ઊભા રહેવાનું ટાળવું જોઈએ, શક્ય હોય તો તેમને વહેલી સવારે જ મતદાન મથકે લઈ જવા. વરસાદની આગાહી19થી 21 એપ્રિલ દરમિયાન માવઠું થવાની સંભાવનાગરમીની વચ્ચે 21 એપ્રિલ સુધી દરમિયાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થનારા માવઠાંની અસર હેઠળ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન આકાશમાં વાદળો દેખાશે, પરંતુ મતદાનના દિવસો નજીક આવતા જ આકાશ સ્વચ્છ થશે અને પશ્ચિમી પવન ફૂંકાશે. 26 એપ્રિલ સુધીમાં પવનની ગતિ પણ વધીને 25થી 30 કિમી સુધી પહોંચી શકે છે. એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના પ્રભાવના કારણે 21 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જો કે, હજુ એકથી દોઢ મહિનો આકરી ગરમી રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:44 am

વિદ્યાર્થીઓ અને વાલીઓ આપે ધ્યાન:ધોરણ 12 પછી ડિગ્રીના નામે છેતરાતા નહીં32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરાઇ

ધોરણ-12ના પરિણામ પૂર્વે કારકિર્દીના સપના જોતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ લાલબત્તી ધરી છે. દેશમાં 32 બોગસ યુનિવર્સિટીઓ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમને ડિગ્રી આપવાની કોઈ કાયદેસર સત્તા નથી. UGCની તાકીદ મુજબ, આ સંસ્થાઓમાં પ્રવેશ લેનારની મહેનત અને લાખોની ફી એળે જશે. યુજીસી અધિનિયમ 1956 હેઠળ માત્ર સરકાર માન્ય સંસ્થાઓ જ ડિગ્રી આપી શકે છે. દિલ્હીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી અને વોકેશનલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓથી દૂર રહેવા જણાવાયું છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ માહિતીના અભાવે આવી નકલી જાળમાં ફસાય છે. આથી, એડમિશન લેતા પહેલા કોલેજની સત્તાવાર માન્યતા તપાસવી અત્યંત અનિવાર્ય છે. વાલીઓ એડમિશન સમયે આ 6 મુદ્દા તપાસો

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:36 am

ભાસ્કર વિશેષ:શેરબજારના ‘ઝટકા’ સામે સહકારી બેંકનો ભરોસો અડીખમ, 4 વર્ષમાં સુરતીઓએ 6327 કરોડ બચાવી 10 બેંકમાં FD કરાવી

શેરબજારમાં જોવા મળતી ભારે અસ્થિરતા અને મ્યુચ્યુઅલ ફંડના જોખમો વચ્ચે સુરતનો મધ્યમ વર્ગ પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત રાખવા માટે ફરી એકવાર પોતીકી બેંકો એટલે કે સહકારી બેંકો તરફ વળ્યા છે. છેલ્લાં 4 નાણાંકીય વર્ષના આંકડા સાબિત કરે છે કે સુરતીઓ ખર્ચવામાં ભલે બાદશાહ હોય, પણ બચત કરવામાં તો શાહ જ છે. વર્ષ 2022-23 થી 2025-26 ના ગાળામાં સુરતની ટોપ-10 સહકારી બેંકોમાં ડિપોઝિટનો આંકડો 16298.64 કરોડથી વધીને 22625.26 કરોડ પર પહોંચી ગયો છે. એટલે કે, સુરતીઓએ આ 4 વર્ષમાં 6326.62 કરોડ રૂપિયાની માતબર રકમ બચાવીને ફિક્સ્ડ ડિપોઝિટ સ્વરૂપે જમા કરાવી છે. કેમ સુરતીઓ શેરબજારને બદલે સહકારી બેંકોમાં વધુ ભરોસો મૂકે છે? સુરતની ટોપ-10 બેંકોનો 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ (આંકડા કરોડ રૂપિયામાં) આ માત્ર આંકડા નથી પરંતુ સુરતની આર્થિક મજબૂતીની સાબિતી આપે છે‘જ્યારે કોઈ શહેરની સહકારી બેંકોમાં ડિપોઝિટ વધે, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તે શહેરની ખરીદશક્તિ અને આર્થિક લડાયકતા વધી છે. સુરતીઓએ 6327 કરોડની વધારાની બચત કરીને સાબિત કર્યું છે કે ભલે ગમે તેવી વૈશ્વિક મંદીની વાતો ચાલતી હોય, સુરતનો પાયો હજુ પણ મજબૂત છે. સુરત હવે માત્ર મોજ-મસ્તીનું શહેર નથી રહ્યું, પણ સ્માર્ટ રોકાણકારોનું શહેર બની રહ્યું છે. બેંકિંગ ડિપોઝિટ ઉજ્જવળ આર્થિક ભવિષ્યનો સંકેત છે. - કાનજી ભાલાળા (ઉપ પ્રમુખ, સાઉથ ગુજરાત કો.ઓપરેટિવ બેંક એસોસિએશન)

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:34 am

યુનિયને કમિશનરને આપેલા આવેદનમાં આક્ષેપ:માર્ચમાં જ બદલી કરાયેલા 338 SSIમાંથી ઘણાખરાને મનપસંદ જગ્યાએ ગોઠવી દેવાયા

પાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગે તાજેતરમાં કરેલી સામૂહિક બદલીઓ વિવાદનું કેન્દ્ર બની છે. 10 માર્ચે 338 SSIની બદલી થઈ હતી. જો કે, આશ્ચર્યજનક રીતે દસ-પંદર દિવસમાં જ અનેક કર્મચારીઓને ફરી જૂની જગ્યાએ જ મૂકી દેવાયા છે. માર્કેટ વિભાગમાં લાંબા સમયથી જામી પડેલા હર્ષદ ખરોડે, મો. ઈરફાજ કાપડિયા સહિતના કર્મચારીઓને બદલી બાદ ફરી એ જ વિભાગમાં મૂકાતાં વિવાદ સર્જાયો છે. કર્મચારી યુનિયન દ્વારા કમિશનરને પાઠવાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, વહીવટી તંત્રમાં ‘વહાલા-દવલા’ની નીતિએ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો (SSI) ની બદલીના ઓર્ડર થયાના ગણતરીના દિવસોમાં જ તેમને ફરી અનુકૂળ સ્થળે મૂકી દેવા પાછળ ગેરરીતિની ગંધ આવી રહી છે. તેમણે સવાલ કર્યો હતો કે, શું આ કર્મચારીઓ સિવાય અન્ય કોઈ આ કામગીરી કરવા માટે સક્ષમ જ નથી? વિજિલન્સ તપાસ સાથે બદલીના હુકમો રદ કરવા માંગ કર્મચારી યુનિયને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જે તે ખાતાના વડાઓ પોતાના ‘ખાસ’ માણસોને સાચવવા માટે ખોટા રિપોર્ટ કરી તેમને પાછા બોલાવી લે છે. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની પૂરેપૂરી શક્યતા છે. યુનિયને માંગ કરી છે કે, ટૂંકા ગાળામાં કરવામાં આવેલા તમામ બદલીના હુકમો રદ કરી કર્મચારીઓને મૂળ બદલીના સ્થળે પરત મોકલવા, લાગવગ લગાડનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા,સમગ્ર મામલે વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરાવવી. સ્મીમેરમાં 17 વર્ષ જૂના મહિલા SSIને કતારગામ મૂકાયા હતામહિલા કર્મચારીઓને અન્યાય અને લાગવગશાહી આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, સ્મીમેર હોસ્પિટલમાં 17 વર્ષથી ફરજ બજાવતા મહિલા SSIની કતારગામ બદલી કરાઈ હતી, પરંતુ ‘જાદુઈ’ રીતે ગણતરીના દિવસોમાં જ તેઓને ફરી મસ્કતી હોસ્પિટલમાં નોકરી પર ગોઠવી દેવાયા છે. બીજી તરફ, અનેક મહિલા કર્મચારીઓ પોતાના ઘરથી 15-20 કિમી દૂર વર્ષોથી ફરજ બજાવે છે અને વારંવારની અરજીઓ છતાં તેમની ઘર નજીક બદલી કરવામાં આવતી નથી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:30 am

સેરોટન ટાવર સામે કૈલાસ એવન્યુની ઘટના:મોટા વરાછામાં માટી નીચે દટાઈ જતાં સાઈટ સુપરવાઈઝરનું મોત

મોટા વરાછામાં કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડતાં દબાઈ ગયેલા આધેડ સાઈટ સુપરવાઈઝરનું મોત નીપજ્યું હતું. સાઈડ પર છ ફૂટ ઊંડો ખાડો ખોદેલો હતો તેની પાસેથી પસાર થતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, મૂળ ભાવનગરના વતની અને મોટા વરાછા શ્યામ શિખર રેસિડેન્સી ખાતે રહેતા 48 વર્ષીય વિજયકુમાર શિવલાલ ધાનાણી કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે સાંજે તેઓ મોટા વરાછા સેરોટન ટાવરની સામે નવી બની રહેલી કૈલાસ એવન્યુની સાઈટ પર કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેઓ સાઈડ પર 6 ફૂટનો ખાડો ખોદેલો હતો તેની પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન અચાનક માટી ધસી પડતાં તેઓ માટીની ભેખડ સાથે ખાડામાં ધસી ગયા હતા અને ભેખડ નીચે દબાઈ ગયા હતા. સ્થળ પર હાજર કર્મચારીઓએ તેમને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઉત્રાણ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને આગળની તપાસ શરૂ કરી હતી. બનાવઆ સંદર્ભે પોલીસે હાલમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:28 am

નવાગામ-ડિંડોલીના ઘરેલુ વીજજોડાણની ઘટના:ટીમે વીજચોરી પકડી પાડી તો ગ્રાહક મીટર લઈ ભાગી ગયો

ડિંડોલીમાં વીજ ચોરીની તપાસ દરમિયાન ટીમે જપ્ત કરેલું મીટર આરોપી ઘટનાસ્થળેથી લઈને ભાગી છૂટ્યો હતો. આ અંગે DGVCLના નાયબ ઈજનેરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 18 એપ્રિલે વીજચોરી પકડવા 5 ટીમોની રચના કરવામાં આવી હતી. તમામ ટીમો સવારે બિલિયાનગર-2, નવાગામ ડિંડોલી સ્થિત એક મકાન પર પહોંચી તપાસ કરી હતી. તે દરમિયાન ગ્રાહક નંબર 17921194311ના નામે લાગેલા મીટરમાં છેડછાડ કરી ગેરકાયદે વીજળીનો વપરાશ થતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ટીમે ઘટનાસ્થળે હાજર દેવાભાઈ બચુભાઈ ભરવાડને વીજચોરી અંગે સમજાવી નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરી મીટર અને વાયર હટાવીને જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ ચેકિંગ શીટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. ટીમનો આક્ષેપ છે કે આ તકનો લાભ લઈને દેવાભાઈ ભરવાડે ટીમનું ધ્યાન ભટકાવીને જપ્ત કરેલું મીટર ઘટના સ્થળેથી ચોરી લીધું અને ફરાર થઈ ગયો. ટીમે તાત્કાલિક આસપાસ તપાસ કરી હતી, પરંતુ મીટર મળ્યું નહોતું. ત્યારબાદ ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:28 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વરાછામાં AAP 35 હજારના માર્જિનથી જીત્યું હતું ત્યાં જ SIRમાં 36 હજાર મત કપાયા છે, પાટીદારોના પ્રભુત્વવાળા 8 વોર્ડમાં SIRમાં કુલ 2.5 લાખ મત કપાયા

સુરત મહાનગર પાલિકાની આવનારી ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા 8 વોર્ડ કે જ્યાં ગત ચૂંટણીમાં આપની 27 બેઠક આવી હતી ત્યાં પરિસ્થિતિ કંઇક અલગ જ છે. અહીં કોંગ્રેસની નિષ્ક્રિયતા અને નબળી સંગઠન શક્તિને કારણે સીધો મુકાબલો મુખ્યત્વે ભાજપ અને આપ વચ્ચે બની ગયો છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વપૂર્ણ ફેક્ટર પાટીદાર મતદારો છે. ઘણા વોર્ડમાં પાટીદાર મતદારોનો પ્રમાણ સૌથી વધુ હોવાથી તેમના મતનો ઝુકાવ ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે. જો પાટીદાર મત એક તરફ મજબૂત રીતે ધ્રુવીકરણ થાય તો તે ભાજપ અને આપ બંનેના ગણિતને બદલવાની ક્ષમતા ધરાવે છે. આપ પાટીદાર વિસ્તારમાં પોતે કરેલા કામોનું ગણિત લોકોને ગણાવી રહી છે: આમ આદમી પાર્ટી છેલ્લા પાંચ વર્ષમાં પોતાના વિકાસના દાવા સાથે મેદાનમાં છે. ખાસ કરીને વરાછા અને આસપાસના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ, સ્થાનિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવો અને સતત જનસંપર્ક રાખવો જેવી બાબતોને લઈને આપ પોતાને મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે. ભાજપે ગઈ ચૂંટણીને ધ્યાને પાટીદાર વિસ્તારમાં ખાસ વ્યૂહરચના બનાવી: 2021ની પાલિકા ચૂંટણીમાં ભાજપને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ પરિણામ બાદ ભાજપે આ વિસ્તારોને ફરીથી કબજે કરવા ખાસ વ્યૂહરચના બનાવી છે. પાર્ટી સંગઠન મજબૂત કરવા અને મતદારો સુધી સીધી પહોંચ વધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વોર્ડ વાઈઝ ગણિત અને પાટીદાર ફેક્ટર

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:26 am

આજે અમદાવાદમાં IPLમાં ગુજરાત vs મુંબઈ મેચ:નમો સ્ટેડિયમમાં MI આજ સુધી જીતી નથી, રોહિતના રમવા પર સસ્પેન્સ; ગિલ ઓરેન્જ કેપ મેળવી શકે

IPLની 19મી સીઝનની 30મી મેચ આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. સાંજે 7 વાગ્યે મેચનો ટૉસ થશે. આ મેચમાં ગુજરાત પાસે સતત ચોથી જીતની તક હશે, જ્યારે મુંબઈની ટીમ હારનો સિલસિલો તોડવા ઈચ્છશે. ટીમ સતત ચાર મેચ હારી ચૂકી છે. આ મેચમાં શુભમન ગિલ પાસે ઓરેન્જ કેપ મેળવવાની તક પણ છે. તે 251 રન બનાવી ચૂક્યો છે અને હૈદરાબાદના હેનરિક ક્લાસેનથી 32 રન પાછળ છે. બીજી તરફ, પ્રસિદ્ધ ક્રિષ્ના પર્પલ કેપથી 2 વિકેટ દૂર છે. તેના નામે 11 વિકેટ છે. GT માટે ગિલ ટૉપ સ્કોરર, પ્રસિદ્ધ સફળ બોલર ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 251 રન બનાવ્યા છે. તો જોસ બટલર 220 રન સાથે ટીમનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 11 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં બીજું સ્થાન મેળવ્યું છે અને તે ગુજરાતનો સૌથી સફળ બોલર છે. MI માટે રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો ટૉપ રન સ્કોરર છે. તેણે 4 મેચમાં 137 રન બનાવ્યા છે. ટીમ તરફથી રાયન રિકેલ્ટને પણ 137 રન બનાવ્યા છે. રાયને રોહિત કરતા એક મેચ વધુ રમી છે. શાર્દૂલ ઠાકુર 6 વિકેટ સાથે ટીમનો ટોપ વિકેટ ટેકર છે. અહીં સીઝનની ત્રીજી મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેલેન્સ્ડ માનવામાં આવે છે, જ્યાં બેટર અને બોલર બંનેને મદદ મળે છે. મેચની શરૂઆતમાં પીચ પર સારો બાઉન્સ અને થોડી મદદ ફાસ્ટ બોલરોને મળે છે, જેના કારણે પાવરપ્લેમાં વિકેટ પડવાની તકો રહે છે. જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ પીચ થોડી ધીમી થઈ જાય છે અને સ્પિન બોલરો અસર દેખાડવાનું શરૂ કરે છે. આ મેદાનની બાઉન્ડરી મોટી હોવાને કારણે બેટર્સ માટે સતત મોટા શોટ મારવા સરળ નથી હોતા, તેથી સ્ટ્રાઈક રોટેશન ઘણું મહત્વનું રહે છે. આ સીઝનમાં અહીં બે મેચ રમાઈ છે. એકમાં ગુજરાતને જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં અત્યાર સુધી કુલ 46 IPL મેચ રમાઈ છે. 23 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમને જીત મળી, એટલી જ મેચમાં ચેઝ કરનાર ટીમને જીત મળી છે. અમદાવાદમાં વરસાદની શક્યતા નથી 20 એપ્રિલે અમદાવાદમાં હવામાન ઘણું ગરમ રહ્યું છે. દિવસનું મહત્તમ તાપમાન આશરે 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25–26 ડિગ્રીની આસપાસ રહ્યું. આખો દિવસ આકાશ ચોખ્ખું અને તડકો તેજ રહેશે, જેનાથી ગરમી વધુ અનુભવાશે. વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. રોહિત શર્માના રમવા પર સસ્પેન્સ આ મુકાબલામાં રોહિત શર્માના રમવા પર શંકા છે. તે 12 એપ્રિલે વાનખેડેમાં બેંગલુરુ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. રોહિતની ઈજા પર કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે ઓછામાં ઓછી બે મેચ આરામ કરશે. અમે તેની પરત ફરવામાં ઉતાવળ કરવા નથી માગતા. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો હતો. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-12 ગુજરાત ટાઈટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર: શાહરૂખ ખાન. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેન્ટ બોલ્ટ.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:24 am

મંજૂરી વગર પ્રચાર સભાઓ યોજાવાની આશંકા:652માંથી માત્ર 105 ઉમેદવારે જ સભા-સરઘસ માટે અને 174એ વાહન પરમિટની મંજૂરી લીધી

મ્યુનિ. ચૂંટણીમાં 48 વોર્ડની 192 બેઠક પર ચૂંટણી લડવા માટે 652 ઉમેદવાર મેદાનમાં આવ્યા છે. સભા, સરઘસ, રેલી, વાહન પરમિટ અને મ્યુનિ. પ્લોટમાં સભા યોજવા માટે પરમિશન લેવાની જરૂર પડતી હોય છે. 15 દિવસમાં આ તમામ પ્રકારની ગતિવિધિઓમાં ભાગ લેવા માટે કુલ 649 ઉમેદવારે અરજી કરી હતી અને 499ની અરજી મંજૂર કરાઈ હતી. મહત્ત્વનું છે કે શહેરમાં ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે અને મંજૂરી લઈને 499 સભા, સરઘસ, રેલીનું આયોજન હજુ સુધી થયું છે. 15 દિવસના ચૂંટણી પ્રચારમાં પોલીસ પાસેથી સભા, સરઘસ માટે 105 અરજી મંજૂર, રેલી માટે 89 અરજી મંજૂર, આરટીઓ પાસેથી વાહન પરમિટ માટે 174 અરજી મંજૂર અને મ્યુનિ.ના પ્લોટને ભાડે રાખીને સભા યોજવા માટે 131 અરજીઓને મંજૂરી અપાઈ હતી જ્યારે 160 અરજી પડતર છે. ચૂંટણી પ્રચાર માટે હવે માંડ 4 જ દિવસ બાકી રહ્યા છે તેમ છતાં ખૂબ જ ઓછી સંખ્યામાં અરજીઓ આવી રહી છે. જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે પ્રમાણે રેલી, સભા, સરઘસની મંજૂરી લેવા માટેની સંખ્યા ઓછી હોવાને કારણે મંજૂરી વગરની રેલીઓનું આયોજન થઇ રહ્યું હોય તેવી શંકા સેવાઇ રહી છે. જોકે રેલી, સભા, સરઘસને મંજૂરી મળી છે કે નહીં તેને ચેક કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા ચેકિંગ સહિતની કામગીરી પણ ખૂબ જ ઢીલી જોવા મળી રહી છે. તંત્રની ચેકિંગ ટીમ દ્વારા મંજૂરી વગરના રેલી, સભા, સરઘસ કે વાહન પરમિટ લીધા વગરના એક પણ વાહન પકડવામાં આવ્યાં નથી. ઉમેદવારે મંજૂરી લીધી છે કે નહીં તે જોવા માટે તંત્ર દ્વારા ખાસ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામા આવતી નથી. 652 ઉમેદવારે 89 રેલીની મંજૂરી લીધી અસુવિધાને કારણે સોસાયટીમાં બૂથ બનાવવા મુદ્દે રહીશો નીરસશહેરમાં મતદાનની સંખ્યા વધે તે માટે ચૂંટણી પંચ 800થી વધુ મતદાર હોય તે સોસાયટીમાં જ બૂથ બનાવવાની સુવિધા પૂરી પાડતું હોય છે. જે અંતર્ગત લોકસભા 2024ની ચૂંટણીમાં ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા વિધાનસભાની 29 સોસાયટી, એપાર્ટમેન્ટમાં મતદાન થઈ શકે તે માટે બૂથ બનાવાયાં હતાં. આથી ત્યાં ગત ચૂંટણી કરતાં 2024 લોકસભાની ચૂંટણીમાં 23 ટકા સુધી મતદાન વધ્યું હતું. જોકે લોકસભા ચૂંટણીના અનુભવે જાણવા મળ્યું હતું કે બૂથ બનાવવા માટે સોસાયટીમાં ક્લબ હાઉસ કે સ્ટોર રૂમનો ઉપયોગ કરાતો હોય છે. ત્યાં બૂથ બન્યું હોવાથી મહિના સુધી પોલીસ, ચૂંટણી કર્મચારીઓની અવરજવરને કારણે અસુવિધા થતાં સોસાયટી, એપાર્ટમેન્ટ બૂથ માટે ઓછો રસ ધરાવે છે. 21ની મ્યુનિ. ચૂંટણીમાં 42.51% મતદાન થયું હતું, જે બહુ ઓછું હતું. આથી વધુ સોસાયટી-એપાર્ટમેન્ટ આ વ્યવસ્થા ઊભી કરે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:09 am

નર્સે ફાઈલ ડાઉનલોડ કરતાં ફોન હેક થયો:સિવિલની નર્સને ઈ-ચલણ મોકલી ગઠિયાઓએ 7 લાખ ખંખેરી લીધા

સિવિલ હોસ્પિટલની એક નર્સને સાઈબર ગઠિયાઓએ આરટીઓ ઈ ચલણ નામની એપીકે ફાઈલ મોકલી સેલેરી ખાતામાંથી રૂ.7 લાખ ખંખેરી લીધા હતા. પેન્ડીંગ કે નવો ઈ મેમો આવ્યો હોવાનું માની નર્સે એપીકે ફાઈલ ડાઉનલોડ કરી હતી, ફાઈલ ડાઉનલોડ થતાં જ તેમના ખાતામાંથી નાણાં ઉપડી ગયા હતા. નવા નરોડા સુરભી શિલાલેખ સોસાયટીમાં રહેતાં મંજુલા ચૌહાણ(55) અસારવા સિવિલમાં નર્સની ફરજ બજાવે છે. 28 ઓકટોબર 2025એ હોસ્પિટલમાં મંજુલાબેન મોબાઈલમાં બેંક બેલેન્સ ચેક કરતા હતાં. ત્યારે બેલેન્સ ઓછું જણાતા તેમણે ફોનમાં તપાસ કરી તો તેમના ખાતામાંથી 5 ટ્રાન્ઝેકશનથી રૂ.7 લાખ ઉપડી ગયાના ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. પછી બેંકની એપ્લિકેશન ઓપન કરતાં તે ઓપન થઈ નહોતી. જેથી દીકરાને લઈ તેઓ બેંકમાં ગયાં ત્યારે જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી રૂ.7 લાખ ઉપડ્યા હતા. બેંક દ્વારા તેમને જાણ કરતા તેમણે વોટ્સએપ જોતાં તેમના ફોનમાં આરટીઓ અપડેટ યોર ઈ ચલણ નામની એપીકે ફાઈલ આવી હતી, જે ડાઉનલોડ કરતાં ગઠિયાઓએ પૈસા ઉપાડી લીધા હતા. આ અંગે તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. APK ફાઈલ ડાઉનલોડ કરતાં ગઠિયા ફોન હેક કરી લે છેએપીકે એટલે એન્ડ્રોઈડમાં એપ ઈન્સ્ટોલ કરવા માટેની ફાઈલ. સાયબર ગઠિયા ઈ-ચલણ જેવા નામે આવી ફાઈલ મોકલી તમારો ફોન હેક કરી શકે છે. તે ડાઉનલોડ કરતા જ ફોનનો કંટ્રોલ ગુનેગારો પાસે જાય છે, જેઓ બેઠા-બેઠા તમારા મેસેજ, ઓટીપી અને બેંક વિગતો મેળવી નાણાંની ઉઠાંતરી કરી શકે છે. અજાણી લિંકથી સાવધ રહો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:06 am

રીલ્સનો અતિરેક:માતાપિતાએ ફોન લઈ લેતાં 14 વર્ષની સગીરાએ ઘરમાં તોડફોડ કરી કહ્યું- મરી જઈશ

પોશ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને રીલ્સનું એવું વળગણ લાગ્યું કે, માતાપિતા સાથે ઝઘડો કરવા લાગી. માતાપિતાએ ઓનલાઈન અભ્યાસ માટે મોંઘો ફોન અપાવ્યો હતો, પણ સગીરા ભણવાના બહાને આખો દિવસ રીલ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી. આ બાબતે માતાપિતાએ ઠપકો આપ્યો તો ઘરમાં તોડફોડ કરી અને આત્મહત્યાની ચીમકી આપી. આથી ડરી ગયેલાં માતાપિતાએ દીકરીને સમજાવવા 181ની મદદ માગી. અભયમની ટીમ ઘરે પહોંચી તો સગીરા કોઈની વાત માનવા તૈયાર નહોતી. અભયમના કાઉન્સેલરોએ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સમજાવ્યું કે, સોશિયલ મીડિયાની આભાસી દુનિયા વાસ્તવિક જીવન અને કારકિર્દીને નુકસાન કરે છે. લાંબા કાઉન્સેલિંગ બાદ સગીરાને પોતાની ભૂલ સમજાતાં તેણે માતાપિતાની માફી માગી અને હવે કામ પૂરતો જ ફોનનો ઉપયોગ કરવાની બાંહેધરી આપી હતી. લોકપ્રિય બનવા માટે અત્યાર સુધીમાં 58 રીલ બનાવીશરૂઆતમાં સગીરાએ સોશિયલ મીડિયામાં પોતાની એક રીલ પોસ્ટ કરતા અજાણ્યા લોકોએ લાઈક્સ અને કોમેન્ટ્સ કરતા પોતે જાણીતી થશે અને ડિજિટલ દુનિયામાં લોકપ્રિયતા વધશે તેમ વિચારી તેણે અભ્યાસ છોડી રીલ્સ શૂટ કરવાનું શરૂ કરી દીધું હતું. અત્યાર સુધીમાં સગીરએ 58 રીલ્સ બનાવી પોસ્ટ કરી હતી. લાઈક્સ અને કોમેન્ટ્સ ‘ડોપામાઈન’નું કામ કરે છેમનોચિકિત્સકોના મતે, જ્યારે કિશોર વયનાં બાળકોની રીલ્સ પર લાઇક્સ કે કોમેન્ટ્સ આવે છે ત્યારે તેમના મગજમાં ‘ડોપામાઇન’ નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે તેમને આનંદની અનુભૂતિ કરાવે છે. આ આનંદ મેળવવા તેઓ વારંવાર રીલ્સ બનાવે છે. જ્યારે આ પ્રક્રિયા અટકાવાય ત્યારે વ્યક્તિ ‘વિથડ્રોઅલ સિમ્પટમ્સ’ અનુભવે છે, જેથી તે હિંસક બને, તોડફોડ કરે કે આપઘાતની ધમકી આપવા જેવાં પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:05 am

PSIની પરીક્ષા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની વય, કુંવરબાઈનું મામેરું યોજનાના પ્રશ્નો પુછાયા

ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ (જીપીઆરબી)ના ઉપક્રમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર (બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, પ્લાટુન કમાન્ડર, જેલર ગ્રુપ-2)ની કુલ 858 પોસ્ટ પર ભરતી માટેની બીજા તબક્કાની લેખિત પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1.10 લાખ ઉમેદવારોમાંથી 86 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેતાં ઉપસ્થિત ઉમેદવારોની ટકાવારી 78.18 ટકા જોવા મળી છે. બે સેશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની લઘુત્તમ વય કેટલી?, કયા વર્ષથી સુશાસન દિવસની ઉજવણી થાય છે?, ભારતમાં પ્રવર્તમાન બંધારણીય સંસ્થાઓની જાણકારીને લગતા પ્રશ્ન ઉપરાંત આપણા સરંક્ષણમાં વપરાતાં સ્વદેશી હેલિકોપ્ટર એલસીએચ પ્રચંડ અંગેની જાણકારીને લગતા પ્રશ્નો પુછાયા હતા. સાથે જ રાજ્યના 2026ના વર્ષ માટેના અંદાજપત્ર અને સરકારની કુંવરબાઈનું મામેરું યોજના અંગેનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોની OMR શીટ ભરતી બોર્ડ પર મુકાઈગુજરાત પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડની આ પરીક્ષા આપનારા ઉમેદવારોની સ્કેન થયેલી ઓએમઆર શીટ પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકાઈ છે. આ ઓએમઆર શીટ ભરતી બોર્ડની https;//gprb.gujarat.gov.in વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે વિશ્લેષણાત્મક વાંચન કરનારા સારો સ્કોર કરી શકશે‘પ્રશ્નોના સ્વરૂપને કારણે ઘણા ઉમેદવારોને આ પેપર થોડું લાંબું લાગ્યું હોવાની શક્યતા છે. આ પ્રશ્નપત્રના કન્ટેન્ટ અને પ્રશ્નોના સ્તર અંગે વિશ્લેષણમાં અમુક ચોક્કસ વિષયોના પ્રશ્નોએ ઉમેદવારોનું ખાસ ધ્યાન અને ચીવટ માંગી લીધી હતી. બંધારણના વિષયમાં મહિલાઓ માટે માસિક ધર્મના અધિકારોને લગતા પ્રશ્નો, દેશના સંરક્ષણને લગતા પ્રશ્નો અને ખાસ કરીને ગુજરાતના Particularly Vulnerable Tribal Groups-PVTG અંગે પૂછાયેલા પ્રશ્નો ખૂબ જ બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યા હતા.’ > હર્ષ પટેલ,સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત,વ્યાખ્યાતા સ્પીપા

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:03 am

નોકરી ન્યુઝ:BPCL 250 એક્ઝિક્યુટિવની ભરતી કરશે, રૂ.17 લાખ સુધીનું પેકેજ અપાશે

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ, એસોસિએટ એક્ઝિક્યુટિવ, સેક્રેટરી સહિતની 250 જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી દીધી છે. નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા અને 35 વર્ષ સુધીની મહત્તમ નિર્ધારિત વયમર્યાદા ધરાવનારા ઉમેદવારો 17 મે સુધીમાં વેબસાઈટ https://www.bharatpetroleum.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે અંતર્ગત જુનિયર એક્ઝિક્યુટિવ અને સેક્રેટરીની પોસ્ટ માટે લઘુત્તમ વાર્ષિક પગારધોરણ 12.28 નિર્ધારિત કરાયું છે જ્યારે એસોસિએટ એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે વાર્ષિક 17.11 લાખનો પગાર નક્કી કરાયો છે. અરજીના આધારે શૈક્ષણિક ગુણવત્તા અને અનુભવના આધારે પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. આ પરીક્ષા પાસ કરનારાઓને ગ્રુપ ટાસ્ક ચર્ચામાં ભાગ લેવાનો રહેશે. તે પછીથી વ્યક્તિગત ઈન્ટરવ્યુ અને મેડીકલ ટેસ્ટ બાદ મેરીટના આધારે આખરી પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. ઉમેદવારોએ તમામ ડોકયુમેન્ટસ સાથે હાજર રહેવુ અનિવાર્ય છે. જેમાં કોઈ પણ ક્ષતિ જણાય તો અરજી રદ થઈ શકે છે. સિલેકશન પ્રક્રિયામાં પારદર્શકતા જળવાય તે માટે દરેક તબક્કાનુ મૂલ્યાંકન નિર્ધારિત ચુસ્ત માપદંડો અનુસાર કરાશે. આ પોસ્ટ ભરાશે : ઉમેદવારમાં આ યોગ્યતા હોવી આવશ્યક છે

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:02 am

મંડે પોઝિટીવ:જટિલ ઇજનેરી અને કોડિંગનું ટેન્શન હળવું કરવા VGECના વિદ્યાર્થીઓએ ભજન ક્લબિંગ શરૂ કર્યું

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને સ્ક્રીન એડિક્શનથી ઘેરાયેલી ‘જેન ઝી’ માટે વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કૉલેજ (VGEC)એ ‘ભજન ક્લબિંગ’ની પહેલ કરી છે. ઇજનેરીના જટિલ અભ્યાસ અને કોડિંગના ટેન્શન વચ્ચે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તણાવમુક્તિ માટે આ ‘સ્ટ્રેસ બસ્ટર’ સાબિત થઈ રહ્યું છે. અનોખા પ્રયોગમાં પરંપરાગત ભજનોને આધુનિક સંગીતનાં વાદ્યો સાથે રજૂ કરાતાં અત્યાર સુધીમાં 600થી વધુ છાત્રો આ ‘હ્યુમન કનેક્ટ’ અભિગમમાં ઉત્સાહભેર જોડાયા છે. સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. વિનય પુરાણીના જણાવ્યા મુજબ, આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રગતિની સાથે માનસિક મજબૂતી, સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. આ ક્લબ વિદ્યાર્થી સંચાલિત છે. મ્યુઝિક ક્લબની સ્થાપના અંતર્ગત ભજન ક્લબિંગની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે કાર્યક્રમ થયા છે. કાર્યક્રમના સંયોજક ડૉ. ઇન્દ્રજીત ત્રિવેદીએ જણાવ્યું કે ઇજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ નિહાર, અનુષ્કા, રુદ્ર, આકાશ, શિવાંશ, રાગિણી, દિયા, આરતી, મલ્હાર, અંકિતા, પ્રેમ, જસવીર, પ્રાપ્તિ, શશીકલા, દર્શિન, પરિતા, મહર્ષિ, દર્શિન, ધ્રુવિલ, રેહાન, શિવમ, પ્રિયાંશુ, સોનલ, સૃષ્ટિ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ક્લબ માત્ર સંગીત માટે નથી, પરંતુ તે અનુભૂતિ છે, જ્યાં અમે સંસ્કૃતિ સાથે જોડાઈને આનંદ અને શાંતિ અનુભવીએ છીએ. ભજન એ વ્યસનમુક્તિ અને એકાગ્રતાની જડીબુટ્ટીવિખ્યાત ભજનિક સ્વ. જીતુ ભગતના પુત્ર અને ગઝલગાયક અતુલ બ્રહ્મભટ્ટ જણાવે છે કે ‘મેં પિતા સાથે હજારો કાર્યક્રમોમાં હાર્મોનિયમ વગાડી ભજનનું જ્ઞાન મેળવ્યું છે. ભજન માત્ર ગાયન નથી પણ જીવન જીવવાની પદ્ધતિ છે. વિદ્યાર્થી અવસ્થામાં જો બાળક 2-3 કલાક ભજનમાં વ્યસ્ત રહે તો તે આધિ-વ્યાધિ અને ઉપાધિથી દૂર રહી શકે છે. ભજનથી મળતી માનસિક શાંતિ અને આધ્યાત્મિક આનંદ નકારાત્મક વિચારો તેમજ વ્યસનોથી દૂર રાખે છે. આ પ્રવૃત્તિથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને માનવીય મૂલ્યોનું મહત્વ સમજાય છે. આજે પણ અમે પિતાજીએ લખેલા 1000થી વધુ ભજનોનું મણિનગર નિવાસસ્થાને દર શનિવારે નિયમિત ગાન કરીએ છીએ. વાજિંત્રોના તરંગો મગજના આલ્ફાવેવ્સ ઉત્તેજિત કરે છેસામૂહિક ભજનના લયબદ્ધ સૂર મગજમાં ‘આલ્ફા વેવ્સ’ ઉત્તેજિત કરે છે, જે ચિંતા અને નિરાશા ઘટાડી મનને રિલેક્સ કરે છે. આ પ્રવૃત્તિથી સ્ટ્રેસ હોર્મોન ઘટે છે અને એકાગ્રતા વધે છે. ભજન દરમિયાન સોશિયલ મીડિયાથી દૂરી વિદ્યાર્થીઓના ભાવનાત્મક સંતુલન (EQ) માટે ‘મેન્ટલ હેલ્થ વેક્સિન’ જેવું કામ કરે છે અને સાંસ્કૃતિક જોડાણ મજબૂત બનાવે છે. શબ્દો પોઝિટિવ ભાવ ઉભો કરે છે અને શરણાગતિનો ભાવ ઊભો કરે છે તેનાથી ચિન્તા અને નિરાશા ઘટે છે. > ડૉ. પ્રશાંત ભીમાણી, સિનિયરકન્સલ્ટિંગ સાયકોલોજિસ્ટ

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:01 am

અંબાલાલની આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી!:26મીએ મતદાનના દિવસે ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી રહેવાની શક્યતા, સવારે 10 પહેલા જ વધુમાં વધુ મતદાન કરાવવાની તૈયારી

ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે રાજકીય ગરમામવો છે. તો બીજી તરફ કુદરતી ગરમીએ પણ પ્રકોપ બનાવવાની શરૂઆત કરી દીધી છે. 26મી એપ્રિલે રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. ત્યારે અંબાલાલ પટેલે ગરમીને લઈ કરેલી આગાહીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. 26મીએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ત્યારે રાજકીય પક્ષોએ સવારે 10 પહેલા અને બપોરે સાડા ચાર વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 26મી એપ્રિલે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની આગાહીહવામાન આગાહીકાર અંબાલાલ પટેલ મુજબ 21થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી થોડી રાહત મળી શકે છે, પરંતુ મતદાનના દિવસે ગરમી યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના વિવિધ ઝોનમાં મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહેશે. સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમી વચ્ચે વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરીઆ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે અલગ-અલગ રણનીતિ અપનાવી છે. ભાજપ દ્વારા મતદારોને વહેલી સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, તેમજ મતદાન મથકો પર છત્રી, ઠંડુ પાણી અને ORS જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ મતદારોમાં ઉત્સાહ અને આક્રોશને મતપેટી સુધી પહોંચાડવા માટે પરિવહન, પાણી અને છાશ જેવી સુવિધાઓ સાથે સિનિયર સિટિઝન માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી પણ ગરમી વચ્ચે મતદાનને લોકશાહીનો ઉત્સવ ગણાવીને લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. ખાસ કરીને વડીલો અને બીમાર મતદારો માટે સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ સાથે પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પાર્ટીનું માનવું છે કે ગરમી થોડા સમય માટે હોય છે, પરંતુ મતનો પ્રભાવ પાંચ વર્ષ સુધી રહેવાનો છે. એક દિવસ ગરમી સહન કરી મતદારોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએઆ રીતે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમી એક મોટો મુદ્દો બની છે અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે સેમિ-ફાઇનલ મનાતી આ ચૂંટણીમાં દરેક પક્ષ વધુમાં વધુ મતદાન થાય તે માટે પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યો છે. અંતે, નાગરિકોને અપીલ છે કે ગરમીની પરવા કર્યા વગર લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ 100 ટકા મતદાન કરો. 19 એપ્રિલે રાજ્યના શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન આજે અને આવતીકાલે રાજ્યમાં માવઠાની આગાહીરાજ્યમાં આકરી ગરમીના રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગે બે દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. વાતાવરણમાં પલટાની શક્યતાના કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:00 am

સાહેબ મિટિંગમાં છે:ચૂંટણી પ્રચાર સમયે ભાજપ નેતાઓનો વિરોધ થતા IBની ચિંતા વધી!, IAS-IPSની બદલી માટે હવે ચૂંટણી પૂરી થવાની રાહ જોવી પડશે

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... હવે, ચૂંટણી બાદ જ IAS-IPSની બદલી થશેગુજરાતના વહીવટીતંત્રમાં લાંબા સમયથી ચર્ચાતી IAS અને IPS અધિકારીઓની બદલીઓ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ મે માસમાં આવશે તે લગભગ સ્પષ્ટ બન્યું છે, જોકે આ ફેરફારો મેની શરૂઆતમાં આવશે કે મધ્યભાગમાં તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ચર્ચાઓ મુજબ ચારથી પાંચ કલેક્ટર સહિત જિલ્લા લેવલના અધિકારીઓમાં ફેરફારો થવાના છે અને સચિવાલયમાં સિનિયર પોસ્ટ ખાલી હોવાના કારણે મોટાપાયે બદલીનો દોર જોવા મળી શકે છે. IPS કેડરમાં પણ આવી જ પરિસ્થિતિ છે, જ્યાં ગત માસમાં બદલીઓ થવાની હતી પરંતુ ચૂંટણીના એલાનને કારણે પ્રક્રિયા અટકી ગઈ હતી. હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ગેજેટ પ્રક્રિયા અને બોર્ડ મિટિંગમાં લાગતા સમયને ધ્યાનમાં રાખીને કેટલાક સૂત્રો 1થી 10 મે વચ્ચે બદલીઓની શક્યતા દર્શાવે છે તો કેટલાક 15 મે આસપાસ આદેશો આવશે તેવો અંદાજ લગાવી રહ્યા છે, એટલે આખું વહીવટી તંત્ર હાલ ‘ક્યારે હુકમ છૂટશે?’ તેની રાહ જોતા સસ્પેન્સમાં છે. શિક્ષણ પછી હવે ‘વન’ પર નજર! વિનોદ રાવના નવા પ્લાનથી ગાંધીનગરમાં ગતિ વધીરાજ્યના પાટનગર ગાંધીનગરમાં શિક્ષણ સમીક્ષા કેન્દ્રની સફળતા બાદ હવે વન વિભાગમાં પણ સમાન પ્રકારનું ‘વન સમીક્ષા કેન્દ્ર’ સ્થાપવાનો વિચાર ઝડપ પકડી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં વન વિભાગના સચિવ વિનોદ રાવના પ્રેઝન્ટેશન બાદ આ પ્રોજેક્ટને લઈને અંદરખાને ચહલપહલ વધી છે. તાજેતરમાં યોજાયેલી સેક્રેટરીઓની મિટિંગમાં વિનોદ રાવે વન વિભાગને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અનેક નવી પહેલો રજૂ કરી હતી, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર મુદ્દો વન સમીક્ષા કેન્દ્રનો હતો. શિક્ષણ વિભાગમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે શિક્ષણ સમીક્ષા કેન્દ્ર ઉભું કરીને સમગ્ર રાજ્યની શૈક્ષણિક પ્રવૃત્તિઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો સફળ પ્રયોગ કર્યો હતો, જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીથી પ્રશંસા મળી હતી. હવે વન વિભાગમાં પણ તેવી જ ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે જંગલોમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર કેન્દ્રિય નજર રાખી શકાય, જોકે આ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે પરંતુ ગાંધીનગરમાં આ નવા પ્લાનને લઈને ચર્ચાઓ તેજ બની છે. IAS નોમિનેશનમાં 3-4 મહિનાનો વિલંબ! 17 અધિકારીઓ હજુ વેઇટિંગમાંગુજરાતમાં IAS કેડરની ખાલી જગ્યાઓ ભરવા માટે દર વર્ષે થતી નોમિનેશન પ્રક્રિયામાં આ વખતે સ્પષ્ટ વિલંબ જોવા મળી રહ્યો છે, જેના કારણે 17 અધિકારીઓને મળનાર પ્રમોશન હવે મે-જૂન સુધી લંબાઈ શકે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અધિકારીઓના નોમિનેશનની ફાઈલ એક મહિના પહેલા જ ક્લિયર થઈ ગઈ હતી અને સચિવ અંજુ શર્માએ ઝડપી કામગીરી પણ શરૂ કરી હતી, છતાં ડિપાર્ટમેન્ટની અંદર વહીવટી પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે ફાઈલ UPSC સુધી પહોંચવામાં મોડું થયું છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ નોમિનેશન આવી ગયું હતું, જ્યારે આ વખતે પ્રક્રિયા મોડી શરૂ થવા ઉપરાંત ફાઈલ આગળ વધારવામાં પણ સમય લાગતા હવે UPSCમાં ક્વેરી ક્લિયર થયા બાદ જ અંતિમ મંજૂરી મળશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં ઓછામાં ઓછા એકથી બે મહિના લાગી શકે છે, જેના કારણે અધિકારીઓને વધુ રાહ જોવી પડશે, જોકે અંદાજે મે-જૂન દરમિયાન નોમિનેશન આવી જશે તેવી આશા રાખવામાં આવી રહી છે અને ‘દેર આયે દુરસ્ત આયે’ જેવી સ્થિતિ બનવાની શક્યતા છે. મહિલા અધિકારીને ચાર વર્ષે,જ્યારે નવા આવેલા અધિકારને તો એક વર્ષમાં જ ઈગો આવી ગયોથોડો સમય પહેલા IAS અધિકારીઓની બદલી થઈ હતી. જેમાં એક મહિલા અધિકારીની બદલીએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા. કેમકે, આ મેડમ બધાને બહાર બેસાડી રાખતા હતા અને જલ્દીથી કોઈને મળતા નહોતા. ચારેક વર્ષ સુધી કામ કર્યા પછી તેમનામાં આ પરિવર્તન આવ્યુ હતુ. જેને કારણે એકાએક જ તેમનો સારી જગ્યાએથી ભોગ લેવાયો હતો. તેમની જગ્યાએ અન્ય એક IAS અધિકારીને મુકાયા હતા. થોડો સમય સુધી સૌ કોઈને લાગ્યુ કે, સાહેબ ખુબ જ સરળ અને સારા છે. જો કે, હવે લોકોનો એ ભ્રમ તૂટવા લાગ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સચિવાલયમાં ચર્ચા છે કે, આગાઉના મેડમને તો ચાર વર્ષ પછી એટીટ્યુડ દેખાડવાનુ શરુ કર્યુ હતુ પણ આ સાહેબે તો એક વર્ષમાં એટીટ્યુડ દેખાડવા માંડ્યો છે. 2027ની ચૂંટણી પછી આ અધિકારીને પણ મહિલા અધિકારીની જેમ સાઈડલાઈનમાં કરી દેવાશે કે શું એવા પ્રશ્નો લોકો એકબીજાને પૂછી રહ્યા છે. બોલો, ફૂડ એન્ડ ડ્ર્ગસ કન્ટ્રોલ વિભાગને સાત મહિના પછી પણ કમિશનર મળતા નથી!ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર પદેથી સપ્ટેમ્બર 2025માં નિવૃત્ત કરાયેલા એચ.જી. કોશિયાના સ્થાને રાજ્ય સરકારે 2009ની બેચના આઇએએસ અને આરોગ્ય કમિશનર (ગ્રામીણ) ડો. રતનકંવર એચ. ગઢવી ચારણને એડિશનલ ચાર્જ સોંપ્યો છે છતાં વેબસાઇટ ઉપર હેડ ઓફિસના સ્ટાફમાં કમિશનર પદે પહેલું નામ ડો. એચ. જી. કોશિયાનું જોવા મળી રહ્યું છે. આ વિભાગમાં છ વખત એક્સટેન્શન મેળવનાર આ નિવૃત્ત અધિકારીએ સાતમા એક્સટેન્શન માટે ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ સરકારે તેમને વિદાય આપી દીધી હતી. રાજ્યમાં ફુડ અને ડ્રગ્સમાં ભેળસેળ અને નકલી ચીજવસ્તુઓનું બજાર ગરમ હોવાથી આ જગ્યા ઉપર ફુલટાઇમ અધિકારી મૂકવા આવશ્યક છે તેમ છતાં સરકારે છેલ્લા સાત મહિનાથી આ પોસ્ટ એડિશનલ ચાર્જમાં રાખી છે. અહીંની ઓફFસના સ્ટાફવાળા મજાક કરી રહ્યા છે કે,નવા કમિશનર કયારે આવશે તે રામ જાણે. IAS વિનોદ રાવની નજર સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સ ઉપરગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી વિનોદ રાવ પાસે નવો ટાસ્ક આવ્યો છે. તાજેતરમાં વન વિભાગની ચિંતન શિબિરમાં આ વિભાગને રાજ્યની 48 ઇકો ટુરિઝમ સાઇટ્સની આવકમાં વધારો કરવાનો ગોલ અપાયો હતો. છેલ્લા બે વર્ષમાં આ સાઇટ્સની આવક 45 કરોડની હતી તેને વધારીને 150 કરોડ કરવાનુ કહેવાયુ છે. જેના દક્ષિણ ભારતના રાજ્યોનું અનુકરણ કરવાનું નક્કી કરાયુ છે. આ રાજ્યો પૈકી કેરલમની 300 સાઇટ્સની આવક 3600 કરોડ, તામિલનાડુની 80 સાઇટ્સની આવક 1200 કરોડ અને કર્ણાટકની 35 સાઇટ્સની આવક 280 કરોડ થાય છે. સરકારે નવી ઇકો ટુરિઝમ પોલિસી પણ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યમાં ઇકો ટુરિઝમના વિકાસની શક્યતા ધરાવતા ઝોન પણ અલગ કરાઈ રહ્યા છે. ગુજરાતના ટેક્સ કમિશનરેટમાં એડિશનલ ચાર્જ દૂર કરાશે કે કેમ?ગુજરાતનું ટેક્સ કમિશનરેટ ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે, આ જગ્યાએ કામ કરતા ઉચ્ચ અધિકારીઓ એડિશનલ ચાર્જમાં ચાલી રહ્યાં છે. રાજ્યમાં જીએસટી ચોરી, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સહિતના ગોટાળા ચાલી રહ્યાં છે છતાં આ કમિશનરેટમાં ફુલટાઇમ અધિકારી મૂકાયા નથી. ટેક્સ વિભાગના ચીફ કમિશનર આરતી કંવર દિલ્હી ડેપ્યુટેશન પર ગયા હોવાથી નાણા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ટી. નટરાજનને ખાલી પડેલી આ જગ્યાનો એડિશનલ ચાર્જ સોંપ્યો છે, જ્યારે સ્પેશ્યલ કમિશનર તરીકે પી. ભારતીને એડિશનલ ચાર્જ અપાયો છે. તેમનું ફુલટાઇમ પોસ્ટીંગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરીનું છે. ટેક્સ વિભાગમાં અન્ય એક એડિશનલ કમિશનર પણ એડિશનલ ચાર્જમાં છે. હવે સ્થાનિક ચૂંટણી પછી આ વિભાગમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યાં છે. 'નેતાઓને સમજાયું, મત વિકાસના નામે નહીં પ્રાથમિક સુવિધાના કામોના કારણે મળશે'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ વિકાસના કામોને લઈને લોકો પાસે મત માંગવા માટે જઈ રહ્યા છે. પરંતુ પ્રજા ભાજપના ઉમેદવારોને પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાના કામો નથી થયા કહીને જાહેરમાં તેમનો ઉધડો લઈ રહ્યા છે. ભાજપના નેતાઓનો ઠેર- ઠેર વિરોધ થવા પાછળનું મુખ્ય કારણ ભાજપે પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાના કામોની જગ્યાએ બાગ બગીચા, સ્પોર્ટસ કોમ્પ્લેક્સને મોટી સુવિધાઓ બનાવવા પાછળ વધારે ધ્યાન આપતા પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 'પાંચ વર્ષ સુધી નાગરિકો તમને પાણી ,ગટર અને રોડની ફરિયાદ કરે છે તો એના પાછળ ધ્યાન આપતા નથી. પરંતુ મોટી વાતો વિકાસની કરી અને મત માંગવા આવ્યા છો તો મત નહીં મળે' એમ કહી મૂકે છે. ભાજપના નેતાઓને હવે ખબર પડી ગઈ છે કે મત વિકાસના નામે નહીં પરંતુ પ્રાથમિક સુવિધાના કામોના માટે જ મળશે એટલે હવે કેટલાક નેતાઓ પણ આગામી પાંચ વર્ષમાં તમારા કામો પૂરા કરી દઈશું એવી ખાતરી આપી ત્યાંથી નીકળી જાય છે. ભાજપના કોર્પોરેટરોએ હવે મતદારની ફરિયાદ સાંભળવા ફોન ઉપાડવો પડશે!મહાનગરપાલિકામાં કોર્પોરેટર બની ગયા પછી કેટલાક કોર્પોરેટરો ફોન ઉપાડવાનું જ બંધ કરી દેતા હોય છે ત્યારે ભાજપના ભવિષ્યના બનનારા કોર્પોરેટરોને ચેતવણી આપી અને કહ્યું હતું કે તમારા ફોન નહીં ઉપાડવા અંગેની ફરિયાદ સીધી હવે શહેર પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીને જ નાગરિકો કરી શકશે. જો કોઈપણ કોર્પોરેટર ફોન ના ઉપાડે તો હવે શહેર પ્રમુખ કે મને ફોન કરજો એવી સીધી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કહી દીધી હતી. જો કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવે તો બધાના ફોન ઉપાડજો દિવસ હોય કે રાત હોય દરેકના કામ કરજો. રાત્રે બે વાગ્યે પણ ફોન કરે તો તેમના ફોન નો જવાબ આપજો અને ફોન નહીં ઉપાડો તો સીધી ફરિયાદ શહેર પ્રમુખ અને તેમના સુધી આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપનો વિરોધ થતા IBની કામગીરી સામે સવાલ ઉઠ્યાગુજરાતમાં ચૂંટણી સમયે સ્ટેટ IBની નજર રહેતી હોય છે. સુરત સહિતના શહેરોમાં ભાજપ વિરોધી પોસ્ટર અને પ્રચાર કરતા જતા નેતાઓને વિરોધ થતા સ્ટેટ IBની કામગીરનને લઈ પણ સવાલ ઉઠ્યા છે.સોશિયલ મીડિયા ઉપર પણ જોરશોરથી ભાજપ વિરોધી બેનરો અંગે વીડિયો વાયરલ થતા હોવા છતાં પણ પહેલેથી આ બાબતે ધ્યાન ન આવતા ભાજપ ડેમેજ કંટ્રોલ કરી શકી નથી. AMCનું ફૂડ વિભાગ કમિશનરની સૂચનાને પણ ઘોળીને પી ગયુંઅમદાવાદમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી અવારનવાર કોઈ ચીજ વસ્તુ નીકળવી અથવા તો અખાદ્ય ચીજ વસ્તુ હોવા અંગેની ફરિયાદો મળતી હોવાને લઈને મ્યુનિસિપલ કમિશનરે ફૂડ વિભાગમાં કામગીરી સામે ખૂબ જ આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નિમ્ન સ્તરની તમે કામગીરી કરો છો. ક્યાંય પણ ત્વરિત પગલા અને અવેરનેસ જેવું દેખાતું જ નથી. ફૂડ વિભાગના અધિકારીને બહેરામપુરા વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે સ્ટ્રીટ ફૂડ એકમો સામે કાર્યવાહી કરવાની કડક સુચના હોવા છતાં પણ હજી સુધી આવી કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં ફૂડ વિભાગ નિષ્ફળ ગયું હોવાના કારણે અમદાવાદઓના આરોગ્ય સાથે વેપારીઓ ચેડા કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:00 am

ઉમરવાડા-માતાવાડીમાં 6000 લોકો નરકાગારની સ્થિતિમાં જીવવા મજબૂર:લલનાઓનો અડ્ડો, બાજુમાં જ કરોડોનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, આખા વિસ્તારમાં એક જ શૌચાલય; સમસ્યાઓથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યાં

સ્માર્ટ સિટી સુરતના વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી વિસ્તારમાં આવેલી પાટી ચાલ ઝૂંપડપટ્ટીના રહીશો આજે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. પીવાનું પાણી, ડ્રેનેજ તેમજ પાયાની સુવિધા ના હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. કહ્યું, નેતાઓ માત્ર ચૂંટણી સમયે મતો માંગવા આવે છે નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી. સુરત મહાનગર પાલિકામાં આવતા વોર્ડ નં. 14માં ઉમરવાડા, માતાવાડી વિસ્તારમાં દિવ્ય ભાસ્કર ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં આશરે 5000થી 6000 જેટલા લોકો વસવાટ કરે છે, પરંતુ અહીં ગટર, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતોનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ગટરની સમસ્યા એટલી ગંભીર છે કે ગમે ત્યારે ઉભરાય જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર એ કોઈ ધ્યાન આપ્યું ના હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતાં. લલનાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડાથી સ્થાનિકો ત્રસ્તઝૂંપડપટ્ટી વિસ્તારમાં શૌચાલયની વ્યવસ્થા અત્યંત ખરાબ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં માત્ર એક જ 'પે એન્ડ યુઝ' શૌચાલય છે, જેની હાલત જર્જરિત છે. વધુમાં વિસ્તારની બાજુમાં લલનાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો હોવાથી શાળાએ જતી દીકરીઓ અને મહિલાઓની છેડતીના બનાવો પણ બને છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીત્યા પછી તેઓ આ વિસ્તારની મુલાકાત પણ લેતા નથીહાલ આ વિસ્તારની વાત કરીએ તો રોડ, રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાનો ખૂબ અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વોર્ડ નં. 14ના કોર્પોરેટરો માત્ર પાંચ વર્ષે એક જ વાર વોટ માંગવા આવે છે. જીત્યા પછી તેઓ આ વિસ્તારની મુલાકાત પણ લેતા નથી. વર્ષોથી આ વિસ્તારની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. 'કોર્પોરેટર પાંચ વર્ષમાં એક વાર વોટ લેવા આવે'સ્થાનિક આસિફ ખલીફાએ જણાવ્યું હતું કે, અહીંયા એક તો રોડ-રસ્તા, બીજા નંબરમાં ગટર, કચરો ને પાણી અને લાઈટની સમસ્યા છે. બીજું કે અમારા કોર્પોરેટર પાંચ વર્ષમાં એક વાર વોટ લેવા આવે 'અમને વોટ આપજો, અમને વોટ આપજો'. વોટ લઈને ચાલ્યા જાય, પછી પાંચ વર્ષ સુધી કોઈ જોતું નથી, ઝૂંપડપટ્ટી છે એટલે. સારી સોસાયટીઓમાં તો એ લોકો એક કચરો રહેવા દેતા નથી, રોજ સફાઈ થાય છે. અહીંયા બે-બે, ત્રણ-ત્રણ મહિને સફાઈ થાય છે. 'ખાલી હવા હવા કરે છે, બાકી ઝૂંપડપટ્ટીમાં કોઈ વિકાસ નથી'તેને વધુમાં કહ્યું કે, બીજા નંબરમાં કે આગળ તમે જોયું જ છે કે ગરનાળું છે. હવે આ જુવાન પોરિયા, જુવાન છોકરીઓ કે બૈરાઓ જાય ક્યાં ટોઈલેટ કરવા? બીજા નંબરમાં કે અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એ પેલો કોન્ટ્રાક્ટર સરકારનું કહીને ચાલ્યો ગયો. તો આ આવી આવી સુવિધાઓ છે, આટલો વિકાસ થાય છે. બાજુમાં એસ.ટી. ડેપો બને છે નવો, પછી મોટામાં મોટું રેલવે સ્ટેશન છે. આ બધી ખાલી હવા હવા કરે છે, બાકી ઝૂંપડપટ્ટીમાં કોઈ વિકાસ નથી. 'પૂર્વ મેયર અસ્મિતાબેનનો વિસ્તાર આ જ પરિસ્થિતિમા'ખલીફાએ વધુમાં કહ્યું કે, સુરતના મેયર એમ કીધું હતું કે સફાઈમાં પહેલો નંબર સુરતનો આવ્યો. એ મને નથી લાગતું કે પહેલો નંબર આવ્યો, આ તો ઝીરો લાગે છે. અને અમારા આજથી ઘણા વર્ષ પહેલા અહીં જે મેયર અસ્મિતાબેન શિરોયા હતા, એ આ વિસ્તારના કોર્પોરેટર રહી ચૂક્યા છે, પણ ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. કોઈ ઝૂંપડપટ્ટીવાળાનું સાંભળવા તૈયાર નથી. 'સુરત એક નંબર સફાઈમાં, પણ સફાઈ ઝીરો નંબર છે'તેને વધુમાં જણાવ્યું કે, સ્થિતિમાં તો તમે જોશો તો નરકની જેમ નરકમાં છે એમ સમજો. તમે અત્યારે પાણીના ટાઈમે આવશો તો પાણી આખું ભરાયેલું હશે. લોકો કેમ જીવે છે હું એ વિચારું છું કે લોકો કેમ રહે છે અહીંયા? કોઈ રહી જ ન શકે. સરકારે અહીંયા જોવું પડે, ઝૂંપડપટ્ટીને જોવું પડે અને એનો થોડો વિકાસ કરવો પડે. તમે ખાલી સોસાયટીઓમાં અને મોટી મોટી ખાલી વાતો ફૂંક્યા કરો કે ભાઈ સુરત એક નંબર સફાઈમાં, પણ સફાઈ ઝીરો નંબર છે. 'ગેસ્ટ હાઉસ ચાલે છે, ત્યાં લલનાઓનો મોટો ત્રાસ છે'સ્થાનિક આસિફ ખલીફાએ કહ્યું કે, લલનાઓ રોડ ઉપર રિક્ષા લઈને ઉભી રહે છે, ગ્રાહકો અહીંયા હોય છે તો બીજા ગમે તેને, બીજી બૈરાઓને એ જ નજરે લોકો જુએ છે, એવી સમસ્યા છે. કોર્પોરેટર આવે એટલે અમારી તો આ જ તૈયારી છે કે અમે અહીંયાથી એને ભગાવશું. 'કાદવ-પાણી ભરાયેલા છે, બહુ પરેશાની થાય છે'અફસરૂન નિસા અબ્દુલ અઝીઝ ખાને કહ્યું હતું કે, મોહલ્લામાં કાદવ-પાણી ભરાયેલા છે, ગરનાળામાંથી અમે આવીએ છીએ, ત્યાં ગોઠણ સુધી પાણી ભરેલું હોય છે, બહુ પરેશાની થાય છે. ગરનાળાની બહાર આ ધંધો ચાલુ છે, જુવાન છોકરીઓ લઈને બધી આવે-જાય છે, આ બધું છેડખાની થાય છે. બહુ મગજમારી છે, હવે શું કરીએ? કઈ રહેવા જેવું અહીં છે નહીં, પણ ગરીબીના કારણે, ધંધા-રોજગારના કારણે માણસ અહીં રહે છે. કોઈ સફાઈવાળા કે કોઈ કોર્પોરેટર આવતા નથી. મોહલ્લામાં આટલી ગંદકી છે, ખાલી વોટ માંગવા આવે છે , એના પછી કોઈ આવતું નથી. અત્યારે આટલી ગંદકી, મચ્છરો છે, પણ કોઈ સફાઈ કે દવા છાંટવા પણ નથી આવતું. 'અહીં મહોલ્લામાં ક્યાંય શૌચાલય નથી'મોહમ્મદ ઇનામ ખાને જણાવ્યું હતું કે,અહીંયા નાળાના પાણીનું નિકાલ થતું નથી. શૌચાલય અને બાથરૂમ નથી, તો મહિલાઓ ક્યાં જાય? રાત્રે ક્યાં જવાનું? આ બધી સમસ્યાઓ છે, અહીં ઘણી ગંદકી છે. ગટરનું પાણી રસ્તા પર આવી રહ્યું છે. અરે બહુ ગંદુ પાણી છે. પીવા જેવું પાણી પણ નથી આવતું, અમે એ પાણી પીતા પણ નથી. અહીં મહોલ્લામાં ક્યાંય શૌચાલય નથી. અમારે ક્યાંક બહાર કે દૂર જવું પડે છે. કોર્પોરેટર અહીં કોઈ આવતું નથી. ફરિયાદ તો ઘણી કરી પણ કોઈ સાંભળતું નથી. વરસાદમાં તો આખા ઘરમાં પાણી ભરાઈ જાય છે. 'વોટ માંગવા માટે આવશે અને પછી દેખાશે પણ નહીં'સ્થાનિક યુવાન માસૂકે જણાવ્યું હતું કે, હું અહીંયા પાટી ચાલમાં રહું છું. અહીં 5-6 હજારની વસ્તી છે, જુઓ અહીંયા કેટલી ગંદકી છે. અહીં કોઈ કોર્પોરેટર આવતા નથી, 5 વર્ષમાં એકવાર આવશે. વોટ માંગવા માટે આવશે અને પછી દેખાશે પણ નહીં. ગંદકી સાથે શૌચાલયની પણ બહુ તકલીફ છે, માણસ બાથરૂમમાં જાય તો પણ તકલીફ પડે. અમે બધા યુપી-બિહારના લોકો અહીં રહીએ છીએ, ગંદકી બહુ જ છે અને કોઈ આવતું નથી. કોર્પોરેટરને ક્યારેય જોયા નથી. 'સાફ-સફાઈ કરાવો, એના પછી જ અમે વોટ આપીશું'મહેબૂબ ખાને જણાવ્યું હતું કે, મુશ્કેલી એ જ છે કે અહીંયા સાફ-સફાઈ થતી નથી. કોઈ કર્મચારી સફાઈ કરવા આવતો નથી. દરેક વસ્તુની પરેશાની છે. પાણીનો નિકાલ નથી, ગટર સાફ નથી થતી, કંઈ જ થતું નથી. રજૂઆત બધા કરીએ છીએ પણ કોઈ આવતું જ નથી, અહીંયા કોઈ દેખાતું જ નથી. અમે લોકો ફરિયાદ પણ કરીએ છીએ તો કોઈ જોવા નથી આવતું. એક શૌચાલય પણ બનાવ્યું છે મેદાનમાં, ત્યાં પણ કોઈ નથી આવતું કે તેનો તાળું તો ખોલી આપે. બસ હા-હા કરે છે અને પછી આવતા જ નથી. વોટ માંગવા પાંચ વર્ષમાં એકવાર આવે છે. પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું જ નથી. હવે એ આવશે તો કહીશું કે પહેલા આ બધું સાફ-સફાઈ કરાવો, એના પછી જ અમે વોટ આપીશું, નહિતર નહીં આપીએ. 'મહિલાઓ અને બાળકોને સૌથી વધારે બાથરૂમની તકલીફ'સાધના અંસારીએ વધુમાં કહ્યું કે, કોર્પોરેટરને તો એ જ કહીશ કે અહીંયા આવે, અમારી સાથે બે દિવસ રહે અને જુએ કે અમે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ. તો તમને પણ ખબર પડી જશે, અમારે કોઈને કહેવાની જરૂર પણ નહીં પડે. મહિલાઓ અને બાળકોને સૌથી વધારે બાથરૂમની તકલીફ છે. કેમકે અહીંયાથી બાથરૂમ ખૂબ દૂર છે અને રાત્રે બંધ પણ થઈ જાય છે. તો અમને રાત્રે અને દિવસે પણ તકલીફો થાય છે. બાથરૂમ ચોખ્ખું નથી હોતું અને બાથરૂમ પણ તૂટેલું છે જે ગમે ત્યારે પડવાનો ડર રહે છે, જેથી અમારો જીવ જવાનો પણ જોખમ છે. 'જીતાડી દઈએ છીએ પછી અમારા માટે કંઈ જ નથી કરતા'સાઈનાઝ અંસારીએ જણાવ્યું કે, એક તો વીજળી આપે છે તેમાં પણ કાપ મૂકે છે, ગરમીમાં ખૂબ જ હેરાનગતિ થાય છે. આ ઝૂંપડપટ્ટી તોડવાનું કહે છે પણ અમને ઘર આપતા નથી. પાણીનું પણ કંઈ ઠેકાણું હોતું નથી, આટલી બધી સમસ્યાઓ છે. રસ્તાઓ એવા છે કે આખું ગટર ભરાઈ જાય છે, કોઈ સાફ કરવા પણ નથી આવતું. કોર્પોરેટર અહીં આવે છે અને હાથ જોડીને કહે છે કે અમને જીતાડો બહેન, અમે આ કરીશું, અમે પેલું કરીશું. અમે જીતાડી પણ દઈએ છીએ તો પણ અમારા માટે કંઈ જ નથી કરતા. 'અમે વોટ જ ન આપીએ અને જીતાડીએ જ નહીં'તેને વધુમાં કહ્યું કે, અત્યારે આવશે તો પણ એવું જ કહેશે કે અમે તમારા માટે સુવિધા કરી દઈશું, ગટરની સુવિધા કરીશું. અમે તો ભોળા છીએ એટલે તેમની વાતમાં આવી જઈએ છીએ.આ વખતે તો તેના કરતાં તો સારું છે કે અમે વોટ જ ન આપીએ અને જીતાડીએ જ નહીં, અમે એમ જ બેસી રહીએ. 'કોર્પોરેટરને જોયાને એક જમાનો થઈ ગયો!'અલ્લા રખા અંસારીએ જણાવ્યું કે, તંત્રને તો એમ જ કે અહીં જ પેદા થયા છીએ, આટલા મોટા થઈ ગયા પણ હજુ સુધી કોઈ સુવિધા જ મળી રહી નથી. અહીં ખાલી વોટ લેવા માટે જ આવે છે, પછી આવતા જ નથી. કોર્પોરેટરને એક જમાનો થઈ ગયો જોયાને! જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જોયા હતાં. એના પછી કોઈ આવ્યું જ નથી. આવશે તો એજ બતાવીશું કે આ રસ્તો જુઓ, ઉપર-નીચે બધે જ પબ્લિક આવે-જાય છે અને રસ્તામાં પડી જાય છે. 'જે સુવિધા આપશે તેને વોટ આપીશું, નહીં તો કોઈને નહીં આપીએ'પૂજા અલ્લા રખા શેખે કહ્યું કે, જુઓ ગટરો વહે છે, કચરાપેટીઓ આખી ભરેલી રહે છે, કોઈ પણ પ્રકારની સુવિધા નથી. વોટ લઈને ચાલ્યા જાય છે. મહિલાઓ માટે રાશન-પાણીની કે કોઈ પણ વસ્તુની સુવિધા નથી. કોર્પોરેટર આવે છે, વોટ લઈને ચાલ્યા જાય છે. પછી તમે કોણ અને અમે કોણ એવું થઈ જાય છે. બાળકો માટે કોઈ સુવિધા કરો, મહિલાઓ માટે કોઈ વ્યવસ્થા કરો. અહીં તો માહોલ ઘણો ખરાબ છે. આ ઝૂંપડપટ્ટી તોડીને સારા ઘર આપો અથવા અહીંયા જ સારા મકાન બનાવી આપો જેથી અમારું જીવન પણ સારું બને. જે સુવિધા આપશે તેને વોટ આપીશું, નહીં તો પછી કોઈને નહીં આપીએ.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:00 am

રાજકોટ શહેર-જિલ્લામાં 6 અકસ્માત ઝોન, અહીં વાહન સંભાળીને ચલાવજો!:3 વર્ષમાં 45 ગંભીર અકસ્માત, 26 લોકોના મોત; ક્રિષ્ના વે-બ્રિજ પર ખાસ ધ્યાન રાખજો

રાજકોટ શહેર અને જિલ્લાના 6 બ્લેક સ્પોટ પાસેથી પસાર થાવ તો વાહન જાળવીને ચલાવજો! કારણ કે, ત્યાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. શહેર પોલીસ દ્વારા 3 અને કલેક્ટરે રૂરલના 500 મીટરના 3 એવા રસ્તા આઇડેન્ટીફાય કર્યા છે, જે ‘બ્લેક સ્પોટ’ એટલે કે એક્સિડન્ટ ઝોન છે. અહીં છેલ્લા 3 વર્ષમાં (2023થી 2025) 45 ગંભીર અકસ્માત થયા છે અને 26 વાહનચાલકો મોતને ભેટ્યા છે. શહેરના ક્રિષ્ના વે બ્રિજ પર સૌથી વધુના મોત થયા છે. છેલ્લા 3 વર્ષમાં 5થી વધુ ગંભીર અકસ્માતોઃ અધિકારીરાજકોટ RTOના અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે, રાજકોટ શહેર અને રૂરલ વિસ્તારમાં અલગ-અલગ બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવતા હોય છે. સિટી વિસ્તારમાં રોડ બનાવતી એજન્સી, RTO અને પોલીસની જોઈન્ટ કમિટી બનાવવામાં આવે છે. સિટી વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા અને રૂરલ વિસ્તારમાં કલેક્ટર દ્વારા બ્લેક સ્પોટનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવે છે. બ્લેક સ્પોટ એટલે 500 મીટરનો એવો રસ્તો કે જ્યાં છેલ્લા 3 વર્ષમાં 5થી વધુ ગંભીર અકસ્માતો થયા હોય અને 10થી વધુ મોત થયા હોય. શહેર-ગ્રામ્યના બ્કેલ સ્પોટવધુમાં ઇન્દ્રજીત ટાંકે ઉમેર્યું કે, રાજકોટ શહેરમાં 3 અને રૂરલમાં 3 બ્લેક સ્પોટ છે. જેમાં શહેરમાં કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-મોરબી હાઈવે પર ગૌરીદડ ગામ રોડ, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક અને આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-અમદાવાદ-ગોંડલ હાઈવે પર સ્વાતિ પાર્ક મેઇન રોડ પાસે ક્રિષ્ના વે બ્રિજ છે. જ્યારે રાજકોટ રૂરલમાં શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર કિશન પેટ્રોલ પંપ અને ખોડીયાર હોટેલ, મારુતિ પેટ્રોલ પંપ અને શાપર પૂલ ઉતરતા એમ કુલ 3 બ્લેક સ્પોટનો સમાવેશ થાય છે. સ્પોટ દુર કરવા તંત્ર દ્વારા લેવાતા પગલાંબ્લેક સ્પોટ રિમૂવ માટે બે પ્રકારના પગલા લેવાતા હોય છે, જેમાં શોર્ટ ટર્મ મેઝર અને લોંગ ટર્મ મેઝરનો સમાવેશ થાય છે. શોર્ટ ટર્મ મેઝરમાં રબ્બર સ્ટ્રીપ, લાઇટ અને રોડ શેફ્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બ્લેક સ્પોટ હોય ત્યાં ભયજનક રોડના બોર્ડ લગાવવામાં આવતા હોય છે, જેથી અહીંથી લોકો પસાર થાય ત્યારે તકેદારી રાખે જેથી અકસ્માતો અને મૃત્યુને નિવારી શકાય. રાજ્યમાં 2022થી 2024માં 56 બ્લેક સ્પોટ નોંધાયા, નવાની જાહેરાત બાકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વર્ષ 2022થી 2024 દરમિયાનના 56 બ્લેક સ્પોટ હોવાનું સામે આવ્યું છે. રાજ્યની RTO કચેરી દ્વારા તમામ શહેર અને જિલ્લાની કટેરી પાસેથી માહિતી મંગાવવામાં આવી છે. આવનારા દિવસોમાં નવા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવનાર છે. રાજકોટ RTOએ શહેરમાં 6 અકસ્માત ઝોન જાહેર કરી, ત્યાં રોડ સેફ્ટી માટેની કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:00 am

કોંગ્રેસ ભવન સામે જ BJP નેતાઓનો ડિસ્કો, જુઓ VIDEO:ગુજરાતમાં ચૂંટણી ને નેહરૂના નામના પડઘા; રાજકોટમાં પગે લાગવાથી બાવડું ઝાલવા સુધીનો ડ્રામા; જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:00 am

ગાયોને ગરમીથી બચાવવા સ્પ્રિંકલર ફૂવારા અને ખાસ ડોમ:માણસોનો કુંભ તો જોયો હશે, હવે જુઓ ગૌ મહાકુંભ; અમદાવાદમાં 116 વીઘામાં ઊભું કરાયું 'ગોકુળ'

તમે અત્યાર સુધી હરિદ્વાર, પ્રયાગરાજ કે ઉજ્જૈનમાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો માટે યોજાતા કુંભમેળા વિશે સાંભળ્યું હશે અને જોયું હશે પણ હવે ગૌવંશના જતન માટે એક અનોખો મહાકુંભ યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદના કઠવાડા, એસ.પી. રિંગ રોડ પર આવેલા હરિભાઇ લાખાભાઇના કૂવા પાસેના વિશાળ મેદાનમાં આજથી 22 એપ્રિલ સુધી કાંકરેજી ગૌ મહાકુંભનું આયોજન થયું છે. માલધારી સમાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સાથે મળીને આ આયોજન કર્યું છે. ગૌ મહાકુંભમાં ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી અત્યાર સુધી ન જોઇ હોય તેવી 200થી વધારે કાંકરેજી ગાયોને લવાશે. જેમાંની 100 ગાયો વચ્ચે જુદી જુદી સ્પર્ધા યોજાશે. આ ગાયોને ઠંડક મળી રહે તે માટે ખાસ પ્રકારનો ડોમ અને સ્પ્રિંકલ ફૂવારા પણ મુકાયા છે.અહીં આવનાર બાળકો નંદી સાથે ખુલ્લા મેદાનમાં રમી શકે તેવું પણ ખાસ આયોજન છે. ગાયમાંથી બનતી 200થી વધુ પ્રોડક્ટ પણ જાતે બનાવી શકાય તેનું પ્રશિક્ષણ લોકોને અપાશે. આ સાથે જ એક ગામડું પણ ઊભું કરાશે. આ વિશાળ ગૌ મહાકુંભમાં તમને શું-શું જોવા મળશે? અહીં સુધી કેવી રીતે પહોંચી શકાશે? પાર્કિંગની વ્યવસ્થા કેવા પ્રકારની હશે? આ તમામ બાબતો અંગે દિવ્ય ભાસ્કરે આયોજકો પાસેથી માહિતી મેળવીને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. 116 વીઘા જમીનમાં આયોજનકુલ 116 વીઘા જમીનમાંથી 36 વીઘામાં કાંકરેજી ગૌ મહાકુંભની ઉજવણી થશે. જ્યારે બાકીના 80 વીઘામાં વિશાળ પાર્કિંગ હશે એટલું જ નહીં અહીં ગામડાંની થીમ ઊભી કરવામાં આવી છે જેમાં ગૌ વંશ રાખનારા માલધારી પરિવારની રહેણી કરણી અને જીવનધોરણ કેવું હોય છે તે દર્શાવાશે. 2500થી વધુ કાર માટે પાર્કિંગઅમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલા કઠવાડા સર્કલથી જમણી બાજુએ વળતાં જ તમને ગૌ મહાકુંભનું બોર્ડ દેખાશે. જ્યાંથી તમે 100 મીટર આગળ વધશો એટલે ડાબી બાજુ વળતાંની સાથે જ એક વિશાળ ગેટ દેખાશે. આ ગેટથી તમે કાર્યક્રમમાં પ્રવેશ કરી શકશો. અહીં દિવસ દરમિયાન રાજ્ય અને રાજ્ય બહારથી અંદાજે 15 હજાર કરતાં વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે. જેથી 2500 થી વધારે ગાડીઓ અને 5000 કરતાં વધારે ટુ વ્હીલર પાર્ક થઇ શકે તેવી ક્ષમતાવાળું વિશાળ પાર્કિંગ તૈયાર કરાયું છે. પ્રવેશ માટે 3 ગેટકાંકરેજી ગૌ મહાકુંભમાં પ્રવેશ માટે આમ તો મુખ્ય 3 ગેટ તૈયાર કરાયા છે. જેમાંથી 2 ગેટ સામાન્ય અને મુલાકાતીઓ માટે છે. જ્યારે એક ગેટ મુખ્ય અતિથિઓ અને VVIPઓના પ્રવેશ માટે છે. ગાયો માટે સ્પ્રિંકલ ફૂવારા મૂકાયાજ્યારે તમે આ સ્થળના મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચશો એટલે તમારી ડાબી બાજુએ 2 મહાકાય ડોમ દેખાશે. જેમાં પહેલાં ડોમમાં વિવિધ કાર્યક્રમો અને મુખ્ય અતિથિઓનું સન્માન અને સંબોધન થશે. જ્યારે તેનાથી થોડાક જ ડગલાં આગળ ચાલતાં જ એક બીજો વિશાળ ડોમ દેખાશે. જ્યાં અત્યાર સુધી ન જોઇ હોય તેવી એકદમ સારી રીતે ઉછરેલી ગુજરાત અને રાજસ્થાનની 100થી વધુ કાંકરેજી ગાયો જોવા મળશે. અહીં ગાયોને પણ ઠંડક મળી રહે તે માટે ખાસ પ્રકારના સ્પ્રિંકલ ફૂવારાઓની વ્યવસ્થા કરાઇ છે. ગાયો માટે આ પ્રકારનું આયોજન જોઇને તમે પણ અચંબિત થઇ જશો. વિવિધ પ્રકારની 200 વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગઆ 2 વિશાળ ડોમની સામેની તરફ નાના-મોટા થઇને 75 જેટલા અલગ અલગ ડોમ દેખાશે. જેમાં દેશભરની ગૌ શાળામાં બનતા પંચગવ્ય, દેશી ગાયનું ઘી, ગૌ મૂત્રનો અર્ક સહિતની વિવિધ પ્રોડક્ટ જોવા મળશે. એટલું જ નહીં અહીં આવનારા મુલાકાતી પોતાની જાતે જ ગાયના છાણમાંથી ધૂપ બત્તી, ગોબર અને ગૌ મૂત્રમાંથી 200 પ્રકારની વસ્તુઓ બનાવતા શીખી શકશે. વાછરડાં સાથે રમવા માટે પ્લેઇંગ એરિયાઅહીં મોટા ભાગે માલધારી સમાજ અને સામાન્ય લોકો પણ મુલાકાત લેવાના હોવાથી મોટા-મોટા બેનર્સમાં ગૌ સંવર્ધન અને ચિકિત્સાને લગતી જાગૃતિ પણ દર્શાવાશે. આ સાથે જ વિવિધ ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ દર્શાવાશે. ખાસ કરીને બાળકો પણ ગાયના વાછરડાં સાથે રમી શકે તે માટે એક વિશાળ જગ્યામાં પ્લેઇંગ એરિયા તૈયાર કરાયો છે. 10 વીઘામાં મેગા કિચનઅહીં દેશભરમાંથી ગૌપાલકો અને માલધારીઓ આવવાના હોવાથી તેમના રહેવા માટેની પણ અહીં વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. 3 દિવસ દરમિયાન 50 હજાર કરતાં પણ વધુ લોકો મુલાકાત લેવાના હોવાથી 10થી વધુ વીઘામાં એક વિશાળ મેગા કિચન તૈયાર કરાયું છે. 2 લાખ લીટરથી વધુ છાશનો પણ ઓર્ડર અપાયો છે. અહીં એક યજ્ઞ શાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં 3 દિવસ દરમિયાન સુરભી યજ્ઞ કરાશે. જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અગ્નિહોત્રી યજ્ઞનું પણ વિશેષ આયોજન છે. સ્વયંસેવકો ખડેપગે રહેશેઆ સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 થી વધુ અને માલધારી સમાજના 500 થી વધુ સ્વયંસેવકો સતત ખડે પગે રહીને સેવા આપશે. ગાયો માટે 5 કેટેગરીમાં સ્પર્ધાઆ મહાકુંભમાં માત્ર ગાયનું જતન અને સેમિનાર જ નથી થવાનો પણ કાંકરેજી ગાયોની 5 કેટેગરીમાં સ્પર્ધા પણ થવાની છે. આ માટે શરૂઆતના તબક્કે દેશભરમાંથી 400 લોકોએ પોતાની કાંકરેજી ગાયનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 100 ગાયોની ફાઇનલ પસંદગી કરાઇ હતી. સ્પર્ધામાં વિજેતા થનારી ગાયના માલિકને રોકડ અને ચાંદીનું ઇનામ અપાશે. અહીં 3 દિવસ સુધી જે ગાયોને રખાશે તેને સારી ગુણવત્તાવાળો ખોરાક પણ અપાશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે આયોજક અને ગૌ સેવક લાલાભાઇ દેસાઇ અને જયરામભાઇ દેસાઇએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. દોઢ મહિના પહેલાં વિચાર આવ્યો ને કાર્યક્રમ યોજાયોલાલાભાઈ દેસાઈએ કહ્યું, આજથી દોઢ મહિના પહેલાં અમે વિચાર કર્યો હતો કે આપણે ગૌ માતા માટે કંઇક કરીએ કે જેના થકી લોકો સુધી એત સારો સંદેશ પહોંચે. આ દરમિયાન અમારી કમિટિ ભેગી થઇ. જેમાં આ કાર્યક્રમ કરવાનું નક્કી થયું. કાર્યક્રમમાં અમને RSSનો પણ સહયોગ મળ્યો છે. તેમના કાર્યકરો અમારી સાથે જોડાયા છે. અમે કાંકરેજી ગૌ મહાકુંભ યોજી રહ્યાં છીએ જેની પાછળનો ઉદ્દેશ્ય કાંકરેજી ગાયને સારો દરજ્જો મળે તે છે કેમ કે આ ગાય ખૂબ જ વફાદાર છે. બીજું કે આ ગાયનો સ્વભાવ જેટલો તેજ છે એટલી જ તે પ્રેમાળ પણ છે. આ ગાયનું મહત્વ વધે તેવો હેતુ છે. ગાય માટે સ્પેશિયલ ડોમ બનાવ્યોતેમણે આગળ કહ્યું, આ આખાય આયોજનમાં સમગ્ર ગુજરાત અને રાજસ્થાનની ગાયો આવી છે. ગાયોના સુંદર વાછરડાંઓને પણ લવાયા છે. આ જોનારા લોકોને એવું થશે કે અત્યાર સુધી આવી ગાય અને વાછરડીઓ ક્યાંય જોઇ જ નથી. અહીં અમે ગૌ યજ્ઞ પણ કરવાના છીએ. અહીં સારા સારા સંતો અને મહંતો પણ આવવાના છે. આ 3 દિવસ દરમિયાન પહેલાં 2 દિવસ અમે અહીં આવેલી ગાયોની વિવિધ રીતે ચકાસણી કરીશું. ત્રીજા દિવસે વિજેતા ગાયોની જાહેરાત કરીને તેમના માલિકને ઇનામ પણ અપાશે. અમે અહીં આવનારી ગાયો માટે સ્પેશિયલ ડોમ જ બનાવ્યો છે. જ્યાં પંખા તો હશે જ પણ તેની સાથે સાથે ફોગર પણ મૂક્યાં છે. અહીં આવનારા લોકો માટે પણ ભોજનથી લઇને રહેવા સુધીની સુવિધા ઊભી કરી છે. જયરામભાઇ દેસાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અમે કાંકરેજી ગૌ મહાકુંભનું આયોજન 36 વીઘામાં કર્યું છે. જ્યારે બાકીના 80 વીઘામાં પાર્કિંગની સુવિધા ઊભી કરી છે. અહીં 36 વીઘામાં બે મહાકાય ડોમ પણ તૈયાર કર્યા છે. જેમાં વિવિધ કાર્યક્રમો થવાના છે. 400થી વધુ રજિસ્ટ્રેશન થયા હતા'કાર્યક્રમ નક્કી થયા પછી ગાયોના રજિસ્ટ્રેશન માટે એક નંબર જાહેર કર્યો હતો. જેમ જેમ માલધારીઓને ખબર પડતી ગઇ તેમ તેમ રજિસ્ટ્રેશન વધતું ગયું હતું. ગુજરાત અને રાજસ્થાનમાંથી 400 થી 500 રજિસ્ટ્રેશન થયા હતા.' 'આ મહાકુંભમાં સંઘે પણ ખભેથી ખભો મિલાવીને અમને મદદ કરી છે. અહીં અમે કાંકરેજી ગાયના શણગારની પણ વ્યવસ્થા કરી છે એટલે અહીંથી અમે તેની સજાવટ માટેની પણ વસ્તુઓ આપવાના છીએ.' આ કાર્યક્રમમાં ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું છે. તેઓ કહે છે કે, અમે જમવાની પ્લેટો પણ પ્લાસ્ટિકની જગ્યાએ પતરાળાંમાંથી બનેલી હોય તેવી ઉપયોગમાં લેવાના છીએ. અહીં તમે આવશો એટલે તમને એવું જ લાગશે કે ખરેખર આ ગાયોનો કુંભ મેળો છે. અમદાવાદના આંગણે યોજાઇ રહેલો આ ગૌ મહાકુંભ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગૌવંશના જતન અને સંવર્ધન માટેનો મહાયજ્ઞ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 6:00 am

ભાસ્કર બ્રેકિંગ:ચારથી પાંચ વિભાગોનું ક્લસ્ટર, 60 દિવસમાં પ્રોજેક્ટ મંજૂરી, નિર્ણયોમાં IAS-ટેક્નોક્રેટ્સ

ગુજરાત સરકાર મોટા રોકાણ પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી આપવા માટે વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત ‘એક પ્રોજેક્ટ-એક ટીમ’ મોડલ હેઠળ હવે અલગ-અલગ વિભાગોની જગ્યાએ 4-5 વિભાગોનું ક્લસ્ટર એકસાથે કામ કરશે. દરેક પ્રોજેક્ટ માટે એક નોડલ અધિકારી નિયુક્ત થશે, જે સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સંભાળશે. સચિવાલયના વરિષ્ઠ IAS અધિકારીએ જણાવ્યું કે આ મોડલ પર કામ શરૂ થઈ ચૂક્યું છે. મુખ્ય સચિવ જાતે તેની સમીક્ષા અને મોનિટરિંગ કરી રહ્યા છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે-ગુજરાતમાં હવે કામ ધીમી ગતિએ નહીં, બુલેટની ઝડપે થશે. પછી ભલે તે નિર્ણય લેવાના હોય, મંજૂરી આપવાની હોય કે પ્રોજેક્ટ શરૂ કરવાના હોય. હાલમાં કોઈ મોટા પ્રોજેક્ટને 25થી 60 મંજૂરીઓ લેવી પડતી હતી અને તેમાં 4થી 8 મહિનાનો સમય લાગતો હતો. નવા મોડલનું લક્ષ્ય છે કે આ મંજૂરીઓ ઘટાડીને 15થી 25 કરવામાં આવે અને સમયગાળો 30થી 60 દિવસ સુધી મર્યાદિત કરવામાં આવે. સરકારનું માનવું છે કે આનાથી પ્રોજેક્ટના ખર્ચમાં 3થી 7% સુધીનો ઘટાડો આવશે અને રોકાણની ગતિ 50% સુધી વધશે. નવી સિસ્ટમમાં ફાઇલ મૂવમેન્ટની જગ્યાએ સિંગલ ડિજિટલ ડેશબોર્ડ હશે, જ્યાં દરેક અરજીનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ થશે. વિલંબ થવા પર ઓટો એલર્ટ મળશે અને મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરી સ્તરે દેખરેખ રાખવામાં આવશે. આનાથી પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો પ્રયાસ છે. આ મોડલની ખાસ વાત છે કે પારંપરિક IAS કેન્દ્રિત વ્યવસ્થામાં ફેરફાર કરીને હવે તેમાં ટેક્નોક્રેટ્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને પણ સામેલ કરવામાં આવશે. સેમીકન્ડક્ટર અને AI જેવા ક્ષેત્રોમાં ટેકનીકલ નિર્ણયોની જરૂરિયાતને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. નવા મોડલમાં રોકાણકારો માટે હેન્ડ-હોલ્ડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં એક ઇન્વેસ્ટર રિલેશનશિપ મેનેજર સમગ્ર પ્રોજેક્ટમાં માર્ગદર્શન પૂરું પાડશે. આ મોડલ ખાસ કરીને સેમીકન્ડક્ટર, AI અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા હાઇ-વેલ્યુ સેક્ટરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. જો આ સફળ થશે તો ગુજરાત દેશમાં વહીવટી સુધારાનું નવું મોડલ બની શકે છે. પહેલાં શું હતું? હવે શું થશે? સેક્ટર્સને શું ફાયદો? ગુજરાત AI હબ બનવાની દિશામાં એક્સપ્લેનર (નોંધ: આ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને નીતિ સાથે જોડાયેલા સૂત્રો સાથેની વાતચીત પર આધારિત છે. ઔપચારિક જાહેરાત હજુ બાકી છે, પરંતુ નીતિની રૂપરેખા લગભગ તૈયાર માનવામાં આવી રહી છે.)

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 5:59 am