રાજ્યની મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષા GUJCET માટે વલસાડ જિલ્લાનું તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. પરીક્ષા પારદર્શક અને ગેરરીતિમુક્ત રીતે યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સંદર્ભે ઝોનલ અધિકારી બિપીન પટેલની અધ્યક્ષતામાં બિલ્ડિંગ કંડક્ટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વલસાડ જિલ્લામાં આ વર્ષે અંદાજે 7,000 વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે. પરીક્ષાના આયોજન માટે જિલ્લામાં કુલ 29 બિલ્ડિંગમાં 352 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. તમામ બ્લોકને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. વિદ્યાર્થીઓની ગ્રુપ મુજબની વિગત જોઈએ તો A ગ્રુપમાં 2,934 વિદ્યાર્થીઓ, B ગ્રુપમાં 4,036 વિદ્યાર્થીઓ અને AB ગ્રુપમાં 30 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જાતિવાર આંકડાઓ મુજબ, 3,343 છોકરાઓ અને 3,657 છોકરીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર પર જ વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે. છોકરાઓનું ચેકિંગ પુરુષ નિરીક્ષકો દ્વારા અને છોકરીઓનું ચેકિંગ મહિલા સ્ટાફ દ્વારા કરાશે. મોબાઈલ સહિત તમામ ઈલેક્ટ્રોનિક સાધનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વર્ગખંડમાં પ્રવેશ સમયે હોલ ટિકિટ અને ફોટાની ચકાસણી ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે તમામ કેન્દ્રો પર પીવાના પાણી, બેઠક વ્યવસ્થા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત, દરેક કેન્દ્ર પર CCTV સુપરવાઈઝર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. વલસાડ શિક્ષણ વિભાગની આ તૈયારીઓ દર્શાવે છે કે, ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં યોજાવવા માટે તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે.
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણના જતનના ઉમદા હેતુથી એક વિશેષ ગાંધીગીરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દંડનીય કાર્યવાહીને બદલે પાલિકાએ આ વખતે સમજાવટ અને જાગૃતિનો માર્ગ અપનાવી શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ગંભીર અસરઆ વિશેષ અભિયાનમાં સ્વસહાય જૂથની બહેનોએ ખભેખભા મિલાવીને સક્રિય ભૂમિકા ભજવી રહી છે. શહેરના ધમધમતા સેક્ટર-21, 24, સેક્ટર-7 અને મીના બજાર જેવા વિસ્તારોમાં આવેલી શાકમાર્કેટમાં બહેનોએ રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓ તેમજ ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પેપર બેગનું વિતરણ કરાયુંઆ અભિયાનની ખાસિયત એ રહી કે વેપારીઓને માત્ર પ્લાસ્ટિક છોડવાની સલાહ જ નહીં પરંતુ તેના વિકલ્પ તરીકે પ્રતિકાત્મક રીતે પેપર બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પાલિકાની આ નવતર પદ્ધતિને કારણે વેપારીઓએ પણ હકારાત્મક પ્રતિસાદ આપતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની ખાતરી આપી હતી. ઈકો-ફ્રેન્ડલી વિકલ્પોના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કાર્યક્રમોમહાનગર પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાને બદલે નાગરિકોમાં સ્વૈચ્છિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે જેથી ગાંધીનગરને સાચા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત ગ્રીન સિટી બનાવી શકાય.
સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા એક 70 વર્ષીય વૃદ્ધે પોતાની જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ છે. પત્નીના અવસાન બાદ એકલતા અને વિરહથી પીડાતા વૃદ્ધે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. સવારે સિંગણપોર-ડભોલી કોઝવે પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા'તામળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સુરતના વેડરોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા શંકરભાઈ બાબુભાઈ બારાપાત્રે (ઉં.વ. 70) નિવૃત્ત જીવન ગાળતા હતાં. રાત્રે આશરે 9:00 વાગ્યાની આસપાસ તેઓ પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતાં. મોડી રાત સુધી તેઓ પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પત્નીના અવસાન બાદ માનસિક રીતે ભાંગી પડ્યા હતાપરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, શંકરભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ અને બે પુત્રો છે. થોડા સમય પૂર્વે જ તેમના ધર્મપત્નીનું અવસાન થયું હતું. જીવનભરનો સાથ છૂટી જતાં શંકરભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને સતત હતાશામાં રહેતા હતાં. પત્નીના વિરહને તેઓ સહન ન કરી શકતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વૃદ્ધની લાશ તાપી નદીના કોઝવે પાસે લોકોને તરતી દેખાઈસવારે તાપી નદીના કોઝવે પાસે એક વૃદ્ધનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ચોકબજાર પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની પાસેથી તેમનું આધારકાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે તેમની ઓળખ શંકરભાઈ બારાપાત્રે તરીકે થઈ હતી. પોલીસે તાત્કાલિક તેમના પરિવારજનોનો સંપર્ક કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. પત્નીના વિરહમાં વૃદ્ધે અંતિમ પગલું ભર્યુંચોકબજાર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પત્નીના વિરહમાં વૃદ્ધે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે, તેમ છતાં અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદ સાયબર ક્રાઇમે વીઝા ફ્રોડના બે આરોપીઓને ઝડપ્યા:લાંબા સમયથી ફરાર આરોપીઓને જેલ હવાલે કરાયા
આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વીઝા ફ્રોડના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ જામીન મળ્યા બાદ કોર્ટની મુદતોમાં હાજર રહેવાને બદલે નાસી છૂટ્યા હતા, જેના પગલે કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૨માં આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનામાં જામીન મળ્યા પછી, આરોપીઓ ઉમરેઠ તાલુકા કોર્ટમાં નિયમિત મુદતોમાં હાજર રહ્યા ન હતા અને ફરાર થઈ ગયા હતા. આથી, કોર્ટે તેમની ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યું હતું. પોલીસ ટીમે સંભવિત સ્થળોએ વોચ ગોઠવીને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી પ્રકાશ ઉર્ફે પકો સુરેશભાઈ ગદાણી અને કોચરબ ગામમાંથી ચિરાગ ઉર્ફે જીગો ઉર્ફે વીરલ દલવાડી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટના આદેશ મુજબ તેમને જેલ હવાલે કરવાની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
શ્વેત ક્રાંતિમાં હંમેશા અગ્રેસર રહેતી સુરતની સુમુલ ડેરીએ હવે પર્યાવરણ અને જળ સંચયના ક્ષેત્રમાં પણ સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું છે. વિશ્વ જળ દિવસના અવસરે સુમુલ ડેરીએ 2.5 કરોડ લીટર જળ સંચય કરી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘વોટર ક્રેડિટ’ હાંસલ કરી છે. આ સાથે જ સુમુલ ડેરી આ સિદ્ધિ મેળવનાર સમગ્ર ભારતનો સૌપ્રથમ સહકારી સંઘ બની ગયો છે, જે સુરત અને તાપી જિલ્લા માટે ગર્વની વાત છે. 100 મંડળીઓમાં વરસાદી પાણીના રિચાર્જિંગનો પ્રોજેક્ટસુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાની 100 જેટલી સહકારી દૂધ મંડળીઓ ખાતે જળ સંચય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક વરસાદી પાણી જમીનમાં ઉતારવાની સિસ્ટમ્સ લગાવવામાં આવી હતી. આ સિસ્ટમ દ્વારા વરસાદના વહી જતા પાણીને આધુનિક ટેકનોલોજીની મદદથી જમીનમાં ઉતારવામાં આવ્યું હતું, જેણે આ મોટી સફળતાનો પાયો નાખ્યો છે. 2.5 કરોડ લીટર જળ સંચય અને 25,000 RoUની પ્રાપ્તિસુમુલ ડેરીના આ ભગીરથ પ્રયાસોને પરિણામે આશરે 2.5 કરોડ લીટર (25 મિલિયન લીટર) જેટલું અમૂલ્ય વરસાદી પાણી ભૂગર્ભમાં સફળતાપૂર્વક રિચાર્જ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કામગીરીના બદલામાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મંડળીઓને અંદાજિત 25,000 RoU (રાઈનવોટર ઓફસેટ યુનિટ્સ) એટલે કે ‘વોટર ક્રેડિટ’ એનાયત કરવામાં આવી છે. વોટર ક્રેડિટ મંડળીઓ માટે નવી આવકનું સાધન બનશે આ વોટર ક્રેડિટ માત્ર એક પ્રશંસા પત્ર નથી, પરંતુ એક કિંમતી આર્થિક સંપત્તિ છે. આ ક્રેડિટ્સનું આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ પ્લેટફોર્મ પર વેચાણ કરી શકાશે, જેનાથી દૂધ મંડળીઓ માટે આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. આ કમાણીનો ઉપયોગ ભવિષ્યમાં વોટર રિચાર્જ સિસ્ટમના નિભાવ ખર્ચ માટે કરવામાં આવશે, જેથી આ પ્રોજેક્ટ લાંબા ગાળા સુધી કાર્યરત રહી શકે. ખેડૂતો અને પશુપાલકોને સીધો ફાયદોજળ સંચયના આ પ્રોજેક્ટથી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોને પણ મોટો ફાયદો થશે. ભૂગર્ભમાં આટલી મોટી માત્રામાં પાણી ઉતારવાથી આસપાસના વિસ્તારના બોરવેલ અને કૂવાના જળસ્તર ઊંચા આવશે. પાણીની અછત દૂર થતા પશુપાલન અને ખેતીમાં સિંચાઈની સુવિધા સુધરશે, જે અંતે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે. પર્યાવરણ સુરક્ષા માટે સુમુલ ડેરીનો દેશભરમાં ડંકોસુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ 'શુદ્ધતાની પરંપરા' ના મંત્ર સાથે દૂધની ગુણવત્તા તો જાળવે જ છે, પરંતુ હવે પર્યાવરણ અને જળ સુરક્ષા માટે પણ નવી પરંપરા સ્થાપી રહી છે. આ મોડેલ આગામી સમયમાં દેશના અન્ય સહકારી સંઘો માટે માર્ગદર્શક સાબિત થશે. સુમુલ ડેરીએ આ પ્રોજેક્ટમાં સહભાગી થનાર તમામ 100 દૂધ મંડળીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 માટેની વહીવટી પ્રક્રિયામાં આજે એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. જેમાં શહેરના તમામ 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી આજરોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ આ નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 1થી 18 વોર્ડમાં ગતવર્ષે, 10,93,991 મતદારો સામે ચાલુવર્ષે 9,85,922 મતદારો નોંધાયા છે. એટલે કે 1 લાખથી વધુ મતદારો ઘટયા છે. જ્યારે બુથ અગાઉના 991થી વધીને 1016 થયા છે. જો મતદાર યાદીમાં નામ ન હોય તો જરૂરી આધાર-પુરાવા સાથે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાપાલિકા વિસ્તારના 1 થી 18 વોર્ડ માટેની મતદાર યાદી વિધાનસભા મતવિસ્તારની વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીના શુદ્ધિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડુપ્લીકેશન, સ્થળાંતર અને ગેરહાજર મતદારોના નામ કમી કરવાની સઘન કામગીરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે ગત ચૂંટણીની સરખામણીએ મતદારોની સંખ્યામાં ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ રાજકોટમાં કુલ 10,93,991 મતદારો હતા, જે શુદ્ધિકરણ પ્રક્રિયા બાદ હવે કુલ 9,85,952 થયા છે. આ કુલ મતદારોમાં 5,10,086 પુરુષો, 4,75,848 સ્ત્રીઓ અને 18 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર, મતદારોની સુવિધા માટે આ વખતે મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરમાં 991 બૂથ હતા, જેમાં 25 બૂથનો વધારો કરીને હવે કુલ 1016 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. ભૌગોલિક રીતે જોતા, સૌથી વધુ 77 બૂથ વોર્ડ નંબર 3 માં અને સૌથી ઓછા 42 બૂથ વોર્ડ નં 5 માં રાખવામાં આવ્યા છે. મતદાનના દિવસે નાગરિકોને સુગમતા રહે તે માટે આ ફેરફાર વધતી જતી વસ્તી અને ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાનાં ચુંટણી વિભાગના અધિકારી પ્રણય પંચાલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં આ મામલે જણાવ્યું હતું કે, આજે રાજ્યનાં ચૂંટણી આયોગની સૂચનાથી અને મહાનગરપાલિકાના મતદાર નોંધણી અધિકારી અને કમિશનર સાહેબ તથા રાજકોટ જિલ્લા અને શહેર ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબના સહકાર અને સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી વિધાનસભા પરથી તૈયાર કરીને કુલ 1 થી 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે. મહાપાલિકાની ગત ચૂંટણીમાં અંદાજિત 10,93,991 જેટલા મતદારો નોંધાયેલા હતા. ત્યારબાદ હાલમાં જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) થયો છે તેના લીધે ગેરહાજર, સ્થળાંતરિત કે ડુપ્લીકેશન ધરાવતા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. હવે 18 વોર્ડના મળી કુલ 9,85,952 જેટલા અંદાજિત મતદારો નોંધાયા છે. ચૂંટણીનાં બૂથની વાત કરીએ તો ગત ચૂંટણીમાં અંદાજિત 991 બૂથ હતા, જેમાં વસ્તીના ફેરફાર મુજબ વધારો કરવામાં આવ્યો છે. વર્તમાનમાં કુલ 1016 બૂથ છે એટલે કે ગત વખત કરતા અંદાજે 25 જેટલા બૂથનો વધારો થયો છે. હાલ રાજકોટ શહેરની સેન્ટ્રલ ઝોન કચેરીની સાથે સાથે મનપાનાં તમામ વોર્ડ ઓફોસોમાં પણ આ મતદાર યાદી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. ત્યારે લોકોએ આ મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન હોય અથવા આ યાદીમાં કોઈપણ સુધારો-વધારો કરાવવો હોય તો તેઓ જરૂરી આધાર પુરાવા સાથે ચૂંટણી શાખાનો સંપર્ક કરી શકે છે. આ સુધારા-વધારા ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થાય ત્યાં સુધી કરી આપવામાં આવશે. ખાસ સંજોગોમાં ઉમેદવારીનાં 10 દિવસ અગાઉ સુધી પણ સુધારા વધારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અધિકારી પ્રણય પંચાલ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, આ પ્રાથમિક મતદાર યાદી આજથી જ જાહેર જનતાના અવલોકન માટે મૂકી દેવામાં આવી છે. નાગરિકો ઢેબર રોડ પર આવેલ ડો. આંબેડકર ભવન ખાતે ત્રીજા માળે રૂમ નંબર 11 માં આવેલી મનપાની મુખ્ય ચૂંટણી શાખામાં આ યાદી જોઈ શકશે. ઉપરાંત, શહેરની તમામ 18 વોર્ડ ઓફિસોમાં પણ જે-તે વોર્ડની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. નાયબ કમિશનરે મતદારોને અપીલ કરી છે કે તેઓ નિયત સ્થળે જઈને પોતાનું નામ અને અન્ય વિગતોની ખાતરી કરી લે. જો કોઈ લાયક મતદાર બાકાત રહી ગયો હોય તો તેઓ જરૂરી આધાર-પુરાવા સાથે સુધારો કરાવી શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ પરિવર્તનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. ટેક્નોલૉજીના અસરકારક ઉપયોગ દ્વારા દરેક નાગરિકનું જીવન સરળ બને એ ઉદ્દેશથી તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું. આજે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાગરિક-કેન્દ્રિત ગવર્નન્સ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંચાલિત 'ઇ-નગર પોર્ટલ' હવે શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. એક જ પ્લેટફોર્મ પર 52થી વધુ સેવાઓનગરપાલિકાની વિવિધ સેવાઓને એકીકૃત કરવાના હેતુથી શરૂ કરાયેલા આ પોર્ટલ પર નાગરિકોને અનેક સુવિધાઓ આંગળીના ટેરવે મળે છે. ફરિયાદ નોંધણી, દુકાનનું લાયસન્સ, લગ્ન નોંધણી, મકાન બાંધકામની પરવાનગી, પાણી અને ડ્રેનેજ જોડાણ જેવી પાયાની જરૂરિયાતો માટે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. આ ઉપરાંત, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ રેન્ટ અને હૉલ બુકિંગ જેવી સેવાઓ પણ 24x7 ઓનલાઇન ઉપલબ્ધ છે. વર્ષ 2025-26ના પ્રભાવશાળી આંકડાતાજેતરના આંકડાઓ મુજબ, વર્ષ 2025-26 દરમિયાન ઇ-નગર પોર્ટલ પર 18,00,000 થી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેના થકી સરકારને 1,031 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25માં 26,00,000 ટ્રાન્ઝેક્શન અને 1,522 કરોડની આવક નોંધાઈ હતી. પોર્ટલની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 1,24,00,000 થી વધુ ટ્રાન્ઝેક્શન અને 6,076 કરોડથી વધુની કુલ આવક થઈ છે, જે નાગરિકોનો આ પ્લેટફોર્મ પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. AI અને 23 ભાષાઓનો સપોર્ટવધતી જતી ટેક્નોલૉજી સાથે કદમ મિલાવવા માટે ઇ-નગર પોર્ટલમાં આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. યુઝર્સની સહાય માટે હવે પોર્ટલ પર 'AI ચૅટબોટ' ઉપલબ્ધ છે. વળી, 'ભાષિણી' પ્રોજેક્ટના સહયોગથી આ પોર્ટલ હવે 23 વિવિધ ભાષાઓમાં કાર્યરત છે. આ સુવિધાને કારણે ગુજરાતમાં વસતા વિવિધ ભાષાભાષી લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ કરવો અત્યંત સરળ બન્યો છે. પારદર્શિતા અને સમયની બચતઇ-નગર પોર્ટલને કારણે મ્યુનિસિપલ ઓફિસોમાં જોવા મળતી લાંબી લાઇનો ભૂતકાળ બની ગઈ છે. રિયલ-ટાઇમ એપ્લિકેશન ટ્રેકિંગ, UPI, નેટ બેન્કિંગ અને કાર્ડ દ્વારા પેમેન્ટના વિકલ્પો તેમજ ઓનલાઇન પ્રમાણપત્રો ડાઉનલોડ કરવાની સુવિધાએ વહીવટી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવી છે. કાગળકામમાં થયેલા ઘટાડાને કારણે પર્યાવરણને પણ ફાયદો થયો છે અને નાગરિકોના અમૂલ્ય સમયની બચત થઈ રહી છે.
અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનના PSIની દાદાગીરીના વિડિયો બાદ હવે કણભા પોલીસ સ્ટેશનની હદના કુહા ગામમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે.પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ફાસ્ટ ફૂડની લારી પર જઈને ધમાલ કરી હતી.પોલીસકર્મી ગાડીમાંથી પણ ત્રણ દારૂની બોટલ અને ગંજીફા પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિકોએ હોબાળો કરીને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી હતી.જોકે દીપક સ્થળ પરથી ફરાળ થઈ ગયો હતો.સમગ્ર મામલે કણભા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે કણભા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જે ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.બનાવ બાદ પોલીસકર્મી ફરાર થઈ ગયો છે.પોલીસકર્મીની ગાડી મળી આવી છે જેમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. આ પણ વાંચો ‘નીકળ લુખ્ખા, મારું પો.સ્ટેશન છે, અહીં મારું ચાલશે’21 માર્ચે બોપલ પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરાએ નાગરિક સાથે અસભ્ય વર્તન કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIએ અસભ્ય વર્તન એટલા માટે કર્યું કે તે પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો. આ અંગે યુવકનું કહેવું હતું કે પગમાં સર્જરીના કારણે ઊભું ન રહેવાયું હોવાથી ગાડી પર બેઠો હતો. તો યુવકે આ બેફામ વર્તન બાબતે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ કરી તો તેમણે PSIનો બચાવ કરતા કહ્યું કે પોલીસ સ્ટેશનમાં યુવક ગાડી પર બેઠો હતો જે ખોટું છે, આ રીતે ન બેસવું જોઈએ.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વડોદરામાં દારૂના નશામાં સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ13 માર્ચના રોજ વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક સિક્યુરિટી ગાર્ડે પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. GST ભવનમાં ફરજ બજાવતા આ ગાર્ડે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પોલીસકર્મીએ દારૂના નશામાં વેનથી ટક્કર મારી લારી ઊંધી વાળી16 જુલાઈ, 2025ના રોજ અમદાવાદના શાહીબાગમાં સ્થાનિકોએ પોલીસને ઘેરી લીધી અને એ પણ 1 કિલોમીટર જેટલો પીછો કરીને. સ્થાનિકો આક્ષેપ કર્યા હતા કે પોલીસકર્મીએ દારૂના નશામાં પોલીસ વેનથી ટક્કર મારીને લારીને ઊંધી વાળી દીધી. બાદમાં તેઓ જતા રહેતાં લગભગ એકાદ કિલોમીટર જેટલો પીછો કરી લોકોએ પોલીસ વેનને ઘેરી લીધી. આસપાસથી લોકો ભેગા થઈ જતાં અને વાત પહોંચતાં અધિકારીઓ પણ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
દ્વારકા તાલુકાના બરાડિયા ગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીક ગત સાંજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા ગૌવંશને બચાવવાના પ્રયાસમાં એક ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો કાર સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પશુને બચાવતાં ટેમ્પો કારને ટકરાયોપ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાથી આશરે 10 કિમી દૂર બરાડિયા પાસે ટેમ્પો નંબર GJ 02 XX 7799ના ચાલકે માર્ગ પર ઉતરી આવેલા પશુઓને બચાવવા માટે અચાનક વળાંક લીધો હતો. આ દરમિયાન ટેમ્પો આગળ જઈ રહેલી મોટર કાર નંબર GJ 11 CL 6023 સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયો હતો. સ્થાનિકો દ્વારા બચાવ કામગીરીઅકસ્માત થતાં જ આસપાસના લોકો અને હોટલના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટેમ્પોમાં ફસાયેલા ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી, ખાનગી વાહનો મારફતે તાત્કાલિક દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને તેઓ ભયમુક્ત છે. રખડતા પશુઓ અને અંધારાની સમસ્યાસ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ હાઈવે પર રાત્રિના સમયે પૂરતી લાઈટની વ્યવસ્થા ન હોવાથી અંધારું રહે છે. વધુમાં, રસ્તા પર રખડતા પશુઓનો જમાવડો રહેતો હોવાથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. ગત સાંજની ઘટનાને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. પોલીસ તપાસઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ડિસેમ્બર, 2025ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને ‘એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ’ (AMR)ના ગંભીર ખતરા અંગે સાવધ કર્યા હતા. આ આહ્વાનને ગંભીરતાથી લઈને જાહેર આરોગ્યની સુરક્ષા કાજે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યભરમાં AMR અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે કાઉન્સિલે ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન (IPC) અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સાથે બે મહત્વના સમજૂતી કરાર (MoU) કર્યા છે. જાહેર આરોગ્ય માટે ઐતિહાસિક જોડાણઆ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓના અવિચારી ઉપયોગને અટકાવવાનો અને એન્ટીબાયોટિક દવાઓ સામે વધતી જતી પ્રતિકારક શક્તિના જોખમો વિશે લોકોને શિક્ષિત કરવાનો છે. આ ઐતિહાસિક ક્ષણે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરત પટેલ, ઉપપ્રમુખ કશ્યપ પટેલ તેમજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઉપપ્રમુખ જશુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત IMA પ્રેસિડેન્ટ ડૉ. અનિલ નાયક અને IPC સેક્રેટરી ડૉ. કલાપની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. શું છે AMR અને તેનું જોખમ?જ્યારે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ જેવા સુક્ષ્મજીવો દવાઓ સામે લડવાની શક્તિ કેળવી લે છે, ત્યારે તેને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં સામાન્ય રોગોની સારવાર પણ મુશ્કેલ બની જાય છે. આ જોખમને ખાળવા માટે ફાર્મસી કાઉન્સિલ હવે ડોક્ટરો અને ફાર્માસિસ્ટ્સ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવશે, જેથી ભવિષ્યમાં દવાઓની અસરકારકતા જળવાઈ રહે.
પાટણમાં NCC ‘A’ સર્ટિફિકેટ પરીક્ષા યોજાઈ:શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે 111 કેડેટ્સ સહભાગી
પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે સેવન ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણા દ્વારા એનસીસી ‘A’ સર્ટિફિકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શેઠ એમ.એન. હાઈસ્કૂલ, સાર્વજનિક હાઈસ્કૂલ અને સરસ્વતી શિશુ મંદિર સહિતની ચાર શાળાઓના કુલ 111 કેડેટ્સે ભાગ લીધો હતો. એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર દ્વારા લેવાતી આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના, એકતા અને અનુશાસનના ગુણો કેળવવાનો છે. કેડેટ્સે બે વર્ષના તાલીમ સમયગાળા અને કેમ્પ દરમિયાન પ્રાપ્ત કરેલા સૈન્ય તેમજ નૈતિક શિક્ષણના આધારે તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પરીક્ષાના સંચાલન માટે ચાર વિવિધ શાળાઓના એનસીસી અધિકારીઓ (ANO) ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વી.પી. ઠાકોર, શૈલેષભાઈ પ્રજાપતિ, રઘુવીરસિંહ અને દીક્ષિતભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે. સેવન ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણા તરફથી 2 પીઆઈ સ્ટાફના સભ્યો પણ પરીક્ષાના સુચારુ આયોજન અને નિરીક્ષણ માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા કેડેટ્સમાં શિસ્ત અને દેશપ્રેમની ભાવના સુદ્રઢ કરવાના હેતુથી પૂર્ણ કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં PGVCLના નાયબ ઈજનેરને ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં વીજ વિભાગના અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. રાજુલા PGVCL વિભાગના નાયબ ઈજનેર મહેન્દ્ર શિયાળે આરોપી દાનુભાઈ સાદુળભાઈ ખાચર (રહે. છતડીયા, તા. રાજુલા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના મિશન માર્ચ 2026 અંતર્ગત બાકી વીજબીલની વસૂલાત અને ડિસ્કનેક્શન કામગીરી દરમિયાન બની હતી. ફરિયાદ મુજબ, PGVCL ટીમ ગ્રાહક હંસાબેન ગભરુભાઈ બોરીચાના ખેતીવાડી વીજ કનેક્શનના બાકી રૂ. 4231.44 વસૂલવા વાડીએ ગઈ હતી. તે સમયે આરોપીએ ફોન પર વાતચીત કરી બાકી રકમ ચૂકવવાની ના પાડી અને ફરજમાં અડચણ ઊભી કરી હતી. આરોપીએ અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફરિયાદી તથા અન્ય કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપી PGVCL કચેરી ખાતે રૂબરૂ આવી સરકારી કર્મચારીઓને ધમકી આપી ફરજ બજાવવામાં વિઘ્ન ઊભું કર્યું હતું. આરોપી સામે સરકારી અધિકારીને ફરજ બજાવતા અટકાવવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને કાયદેસરની કામગીરીમાં રૂકાવટ કરવાના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ રાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.બી. જાની દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
સુરતના પુણા વિસ્તારમાં રહેતા પરિવારનો 17 વર્ષીય પુત્ર ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને ચાલ્યા ગયા બાદ આજ દિન સુધી પરત આવ્યો નથી. જો કે, તેના મિત્રએ તરૂણના ભાઈનો સંર્પક કરી તેના બે મિત્રોએ હત્યા કરી જમીનમાં દાટી દીધો હોવાનું જણાવતા છેલ્લા બે મહિનાથી પોલીસ ડેડબોડી શોધી રહી છે. પોલીસે બે મહિના સુધી 5000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ 45 ફૂટનો કૂવો ખોદ્યો છતાં ડેડબોડી નહિ મળતાં પોલીસે ત્રણેય મિત્રો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ વાની ફરજ પડી છે. મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને પૂણાગામ ભૈયાનગરમાં રહેતા અનિલ ગૌડને ત્રણ વર્ષથી ગુમ 17 વર્ષીય નાના ભાઇ વિવેક ઉર્ફે ગબ્બરના મિત્ર દિવ્યાંશુ ગત 25મી જાન્યુઆરીએ મળ્યો હતો. વિવેકની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. ગત 22મી મે-23 પોતે અન્ય બે સાગરીતો કુંદન ઝા અને મોનુ સંતોષ ઠાકુર સાથે મળી તેની હત્યા કરી હોવાનું અને ડેડબોડીને પૂણા કેનાલ રોડ ઉપર રંગઅવધૂત સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં દાટી દીધાનું જણાવ્યું હતું. આ મામલે પરિવારજનોએ પુણા પોલીસમાં જાણ કરી હતી. હત્યાના થોડાક સમય બાદ ફરી કબર ખોડી માથું બાજુમાં આવેલા કૂવામાં ફેંકી દીધાની સનસનાટીભરી કબૂલાત કરી હતી. પૂણા પોલીસે મામલોને ગંભીરતાથી લીધો હતો. જે ખુલ્લો પ્લોટ જણાવાયો હતો તે 50 બાય 100 ફૂટનો આખો પ્લોટ પાંચ ફૂટ ઊંડે સુધી ખોદી કાઢ્યો હતો. એટલું જ નહિ તે કૂવામાં માથું નાંખ્યું હોવાની વાત જણાવાઇ હતી તે કૂવો તેના માલિકે પુરાવી દીધો હોઈ તેને પણ મજૂરો મારફત 45 ફૂટ સુધી ખોદી નાંખ્યો હતો, પરંતુ એક પણ સ્થળેથી ડેડબોડીના કોઈ અવશેષ મળ્યા ન હતા. પોલીસે માનવ અંગો શોધવા જી.પી.આર. (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર)નો પણ ઉપયોગ કર્યો હતો. આ ટેકનોલોજી જમીનમાં દટાયેલું હાડપિંજર, લોખંડ સહિતના અવશેષો શોધવામાં મદદરૂપ થાય છે. યુવકોએ બતાવેલી જગ્યાએ સતત બે મહિના સુધી ખોદકામ છતાં કોઈ માનવઅંગ શોધવામાં પોલીસને સફળતાને બદલે હતાશા હાથ લાગી હતી. યુવકોની કબૂલાત છતાં ડેડબોડી નહિ મળે તે સંજોગોમાં સાબિત કરવું મુશ્કેલ હોઈ પોલીસે ગુમ યુવકના ભાઈની ફરિયાદને આધારે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને શકદાર તરીકે હત્યા કર્યાની વાત કબૂલાત કરનાર ત્રણેય યુવકોનું નામ લખ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, વરાછાની જય અંબે સ્કૂલ નજીક દયા પાર્ક સોસાયટીમાં રહેતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરતો અનીલ મુન્નાલાલ ગૌડ (ઉ.વ.એપ મૂળ રહે. પાહો બજાર, તા. ચુનાર, મીર્ઝાપુર, યુ.પી)નો ધો.8 સુધીનો અભ્યાસ કરનાર નાનો ભાઈ વિવેક ઉર્ફે ગબ્બર (ઉ.વ.17) તા.22 મે 2023ના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર કયાંક ચાલ્યો ગયો હતો. ગુટખા અને નશીલા પદાર્થનો બંધાણી વિવેક પરિજનો ઠપકો આપતા ઘર છોડીને ચાલ્યો જતો અને પરત પણ આવી જતો હતો. જેથી પરિજનોએ શોધખોળ કરી ન હતી પરંતુ 25 જાન્યુઆરી 2026ના રોજ દિવ્યાંશું લાલબાબુશાહ ગુપ્તા (ઉ.વ.19 રહે. બજરંગનગર, પુણા અને મૂળ. સીતામઢી)એ અનીલનો સંર્પક કરી તમારો ભાઈ વિવેક મારો પણ મિત્ર હતો અને તેના બીજા બે મિત્ર કુંદન અનીલ ઝા ઉ.વ. 18) અને મોનુ સંતોષ ઠાકુર (ઉ.વ.23 બંને રહે. રંગ અવધૂત સોસાયટી, કેનાલ રોડ, પુણા અને મૂળ દરભંગા, બિહરા)એ ક્યાંક ગુમ કર્યો છે. જેથી મામલો પોલીસમાં પહોંચતા પોલીસ તપાસમાં વિવેકને દિવ્યાંશું, કુંદન અને મોનુ સાથે મિત્રતા તથા મોડી રાત સુધી સાથે જ હરતા-ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હાલ 20 વર્ષ અને 7 મહિનાના વિવેક ઉર્ફે ગબ્બરનો આજ દિન સુધી પત્તો નહીં મળતા ત્રણેય મિત્ર વિરૂધ્ધ અપહરણની આશંકા વ્યકત કરતી ફરિયાદ નોંધી છે. વિવેક ઉર્ફે ગબ્બર ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પરિજનો તેને ભુલી પણ ગયા હતા. પરંતુ અચાનક જ દિવ્યાંશુ ગુપ્તાએ વિવેકના ભાઈનો સંપર્ક કરી વિવેકને તેના બે મિત્ર કુંદન ઝા અને મોનુ ઠાકુરે ગુમ કર્યાની જાણ કરી હતી. જેથી પરિજનો ચોંકી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ દિવ્યાંશુને કુંદન અને મોનુ વચ્ચે કોઇક બાબતે ઝઘડો થતા તેમને ફસાવવા કારસો રચ્યો હતો. પરંતુ કુંદન અને મોનુની પુછપરછમાં ખુદ દિવ્યાંશુ જ શંકાના દાયરામાં આવી ગયો છે. હાલ 20 વર્ષની ઉંમરનો વિવેક ગુમ થયો ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી અને આશ્ચર્યની બાબત એ છે કે, તેના જ મિત્ર દિવ્યાશુંએ અન્ય બે મિત્ર કુંદન અને મોનુએ ગુમ કર્યાની આશંકા વ્યકત કરી છે. હાલ ત્રણેય જણા શંકાના દાયરામાં છે. પરંતુ વિવેકની ભાળ મળે એવી કોઈ કડી હાથ નહીં લાગતા પોલીસ આગામી દિવસોમાં ત્રણેયના નાર્કો એનાલીસીસ ટેસ્ટ અથવા તો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવશે.
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને માઠી અસર પડી છે.ત્યારે હવે ગુજરાતના પેટ્રોલ પંપ પર પણ તેની અસર દેખાવા લાગી છે. પેટ્રોલિયમ કંપની તરફથી પેટ્રોલ પંપને સપ્લાય થતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે, જે પેટ્રોલ પંપ પર દરરોજની 4 ગાડી માલ આવતો હતો ત્યાં હવે બે જ આવે છે. સાથે સાથે પેટ્રોલ પંપ દ્વારા જે કન્ઝ્યુમરને બલ્ક સપ્લાય કરવામાં આવતી હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે જે ઉદ્યોગો બલ્કમાં માલ ખરીદતા હતા તેના કામકાજ પર અસર થવાની સ્થિતિ છે. પેટ્રોલ સપ્લાયમાં 50% કાપ અને અછતની સ્થિતિસુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી છે. ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ જે પેટ્રોલ પંપ પર દિવસની ત્રણ ગાડીઓ માલ ભરાતો હતો, ત્યાં હવે માત્ર એક કે દોઢ ગાડી જ માલ આપવામાં આવી રહ્યો છે. આ ઘટાડાને કારણે પંપ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બલ્ક કન્ઝ્યુમર્સનો પેટ્રોલ પંપ તરફ ધસારોઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ પહેલા સીધો કંપની પાસેથી માલ ખરીદતા હતા, પરંતુ ભાવમાં અચાનક 12 રૂપિયાનો તોતિંગ વધારો થતાં સમીકરણો બદલાયા છે. હવે આ કન્ઝ્યુમર્સ ડાયરેક્ટ કંપનીને બદલે પેટ્રોલ પંપ પરથી માલ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ ફેરફારને કારણે સામાન્ય જનતા માટેના રિટેલ સ્ટોક પર પણ ભારે દબાણ વધી રહ્યું હોવાનું જણાય છે. બલ્ક સપ્લાય પર પ્રતિબંધ અને ઉદ્યોગો પર અસરસુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી અનિલ દેસાઈના જણાવ્યા મુજબ, કંપનીઓએ એક્સ્ટ્રા કસ્ટમરને માલ આપવાની ના પાડી છે. ઇન્ડસ્ટ્રીમાં જે 2000 થી 5000 લીટર બલ્ક માલ જતો હતો, તેના પર રોક લગાવાઈ છે. આ માલ હવે 20 જેટલી નાની ગાડીઓને વહેંચીને આપવામાં આવશે, જેની સીધી માઠી અસર સ્થાનિક ઉદ્યોગો પર પડશે. 1992 જેવી ક્વોટા સિસ્ટમ લાગુ થવાની ભીતિવર્તમાન પરિસ્થિતિ જોતા પેટ્રોલ પંપ સંચાલકોમાં ફાળ ફેલાઈ છે કે આગામી દિવસોમાં 1992ના યુદ્ધ સમય જેવી ક્વોટા સિસ્ટમ ફરી લાગુ થઈ શકે છે. જો સપ્લાયમાં સુધારો નહીં થાય તો વાહનચાલકોને મર્યાદિત જથ્થામાં જ ઇંધણ આપવાની ફરજ પડી શકે તેમ છે. ઇંધણની આ ખેંચને લીધે ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓઈલ કંપનીઓના કામકાજના સમયમાં ફેરફારસપ્લાય પર નિયંત્રણ રાખવા માટે ઓઈલ કંપનીઓએ તેમના ડેપોના સમયમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ ગાડીઓ વહેલી સવારે 7 વાગ્યે ભરાવવાની શરૂ થઈ જતી હતી, જે હવે સવારે 8 વાગ્યા પછી જ ભરાય છે. કંપનીઓએ કામકાજનો સમય મર્યાદિત કરી દીધો છે જેથી સ્ટોક જળવાઈ રહે અને કોઈને સત્તાવાર રીતે ના પાડવી ન પડે. એસોસિએશન અને કલેક્ટર વચ્ચે મહત્વની બેઠકસપ્લાયની આ કટોકટીને પહોંચી વળવા માટે સુરત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો આજે જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજશે. આ બેઠકમાં ભવિષ્યની પરિસ્થિતિ અને ઇંધણ વિતરણ માટેની નવી માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવશે. સંચાલકો વહીવટી તંત્ર પાસે યોગ્ય આયોજન અને માર્ગદર્શનની માંગ કરી રહ્યા છે જેથી અંધાધૂંધી ન સર્જાય. યુદ્ધની સ્થિતિ અને ઇંધણ બજારનું ભવિષ્યવૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા સાંકળ પર અસર પડી રહી છે. સુરત જેવા મોટા ઔદ્યોગિક શહેરમાં જો 50% સપ્લાય કાપ લાંબો સમય ચાલશે, તો તેની અસર ચીજવસ્તુઓના ભાવ વધારા પર પણ પડી શકે છે. હાલમાં એસોસિએશન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કલેક્ટરના આદેશની રાહ જોઈ રહ્યું છે.
હિંમતનગરના સહકારી જીન ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આજે સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકોને અડધો કલાકથી વધુ સમય સુધી ફસાઈ રહેવું પડ્યું હતું, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાફિક જામ સવારે 10 વાગ્યાથી શરૂ થયો હતો. કાંકરોલથી મોતીપુરા તરફ જતા સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સહકારી જીન ચાર રસ્તાથી અનંતેશ્વર મહાદેવ મંદિર સુધી પણ વાહનોની ભીડ જામી હતી. એક કારચાલક ચિંતન પંચાલે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર સહકારી જીન ચાર રસ્તે ઓવરબ્રિજ બન્યો તે પહેલા પણ ટ્રાફિક રહેતો હતો. હવે ઓવરબ્રિજ ચાલુ હોવા છતાં સર્વિસ રોડ પર ટ્રાફિક જામ રહે છે. હું મેડીસ્ટારથી મોતીપુરા જવાના સર્વિસ રોડ પર અડધો કલાકથી ફસાયેલો છું. વાહનચાલકો હોર્ન વગાડી પરેશાન કરી રહ્યા છે, પરંતુ મારી કાર ખસી નથી. આવા સંજોગોમાં ઓવરબ્રિજ બનાવવાનો શો અર્થ તે સમજાતું નથી. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરામાંથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સહકારી જીન ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે, સર્વિસ રોડ પરની ટ્રાફિક સમસ્યા યથાવત રહેતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલ (WIRC) ના નવનિયુક્ત હોદ્દેદારોએ 19 માર્ચ, 2026 ના રોજ આણંદ શાખાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, WIRC ના પ્રમુખ CA. સૌરભ અજમેરા અને તેમની કારોબારી ટીમને આણંદ શાખા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈથી પધારેલા પ્રમુખ CA. સૌરભ અજમેરા સાથે ઉપ પ્રમુખ CA. રિકીન પટેલ, સચિવ CA. બિશન શાહ અને ખજાનચી CA. રાકેશકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ શાખાના પ્રમુખ CA. હર્ષિત દેસાઈ અને તેમની ટીમના સભ્યોએ તમામ હોદ્દેદારોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. આણંદ શાખાના પ્રતિનિધિ CA. બિશન શાહ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. પ્રમુખ CA. સૌરભ અજમેરાએ આણંદ બ્રાન્ચના અંદાજે 70 જેટલા સભ્યોને સંબોધિત કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે સ્થાનિક યુનિવર્સિટીના પ્રોફેસરો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યો હતો. આ મુલાકાત સાથે સમાંતર, CA સભ્યો માટે ‘બેંક ઓડિટ’ વિષય પર એક સંપૂર્ણ દિવસીય સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બેંક ઓડિટના વિવિધ જટિલ પાસાઓ અને ત્રણ જુદા જુદા વિષયો પર નિષ્ણાંત વક્તાઓ CA. મહર્ષિ શુક્લા, CA. હિતેશ પોમલ અને CA. નયન કોઠારીએ ઉપસ્થિત તમામ સહભાગીઓને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમની સફળતા બાદ, આણંદ બ્રાન્ચના સચિવ CA. પાર્થ પટેલે આભાર વિધિ કરી હતી.
બાળકો બનશે હવે ડિજિટલ:શાહ પરિવારે 1000 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણનો નવો રાહ ચીંધ્યો
પોતાની જન્મભૂમિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે લાપાળિયા પ્રાથમિક શાળામાં ‘વતન પ્રેમ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માતુશ્રી સુશીલાબેન પરમાનંદ શાહ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પંથકની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક સંસાધનો અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી અનોખું વસ્તુદાન કરવામાં આવ્યું હતું. ડિજિટલ શિક્ષણ અને આધુનિક સુવિધાઓઆજના ટેકનોલોજીના યુગમાં ગ્રામીણ બાળકો પણ પાછળ ન રહે તે માટે લાપાળિયા પ્રાથમિક શાળાના વર્ગખંડો માટે સ્માર્ટ TV અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે નવકારમંત્ર બાલમંદિર-પાલીતાણાને પણ 2 સ્માર્ટ TV ભેટ આપી પાયાનું શિક્ષણ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરાયો છે. દાતા પરિવારના સભ્ય ડૉ. મોનાબેન અમિતભાઈ શાહ અને અન્ય આમંત્રિત મહેમાનોનું શાળા પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 1000 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણકાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે પંથકના 1000 થી વધુ જરૂરિયાતમંદ બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય શાળાઓની પાયાની જરૂરિયાતોને ધ્યાને રાખીને શેત્રુંજી, વેજોદરી અને તરસરા પ્રાથમિક શાળાઓને વહીવટી કાર્ય માટે 1-1 કબાટ ભેટ અપાયા હતા. કલા અને રમત-ગમતને પ્રોત્સાહનમાત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રાવિકાશ્રમ-પાલીતાણાને સંગીતના સાધનો અને પીપરલા પ્રાથમિક શાળાને રમત-ગમતના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. ડૉ. મોનાબેન શાહે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી વતન સાથે જોડાયેલા રહેવા અનુરોધ કર્યો હતો. શાળાના આચાર્ય અને ગ્રામજનોએ શાહ પરિવારની આ નિઃસ્વાર્થ સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વલસાડમાં તાપમાન 37°C:3 ડિગ્રીનો વધારો, ઉત્તરના પવનથી બપોરે લૂનો અનુભવ થશે
વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આજે વલસાડનું મહત્તમ તાપમાન 37C નોંધાયું હતું, જે ગઈકાલ કરતાં 3 ડિગ્રી વધુ છે. આકાશ સ્વચ્છ અને તેજ સૂર્યપ્રકાશને કારણે દિવસભર ગરમીનો અનુભવ થશે. ગૂગલ વેધરના અહેવાલ મુજબ, વલસાડનું મહત્તમ તાપમાન 37C અને લઘુત્તમ તાપમાન 24C નોંધાયું છે. હાલનું તાપમાન 33C છે, જે બપોર સુધીમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચવાની શક્યતા છે. ઉત્તર દિશામાંથી 11 mphની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી બપોરના સમયે લૂનો અનુભવ થઈ શકે છે. ગઈકાલની સરખામણીમાં આજે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈકાલે મહત્તમ તાપમાન 33C થી 34C ની આસપાસ હતું, જે આજે વધીને 37C પર પહોંચ્યું છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ગરમીનું જોર યથાવત છે. વલસાડ અને ઉમરગામ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં 27% ભેજને કારણે બફારો અનુભવાશે. ધરમપુર અને કપરાડા જેવા પહાડી વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેશે, જ્યારે પારડી અને વાપીમાં પણ તેજ સૂર્યપ્રકાશની શક્યતા છે. આરોગ્ય વિભાગ દ્વારા UV ઇન્ડેક્સ 9 (ખૂબ જ ઊંચો) હોવાથી નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશથી બચવા અને પૂરતું પાણી પીવા સલાહ આપવામાં આવી છે.
રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન (RDSA) દ્વારા રેલવે કર્મચારીઓ માટે આયોજિત ‘ડીઆરએમ ટ્રોફી-2026’ સંપન્ન થઈ છે. 5 ફેબ્રુઆરીથી 22 માર્ચ, 2026 દરમિયાન યોજાયેલા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં રેલવેના વિવિધ વિભાગો વચ્ચે રસાકસી જોવા મળી હતી. શારીરિક સૌષ્ઠવ અને ખેલદિલીના આ મહોત્સવમાં એન્જિનિયરિંગ વિભાગે મેદાન મારીને ઓવરઓલ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વિવિધ રમતોમાં ખેલાડીઓનો જોશઆ ટુર્નામેન્ટ માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નહોતી. રેલવે સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, ફૂટબોલ, સાયકલિંગ અને એથ્લેટિક્સ જેવી વિવિધ સ્પર્ધાઓમાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર પ્રદર્શનના અંતે પોઈન્ટ ટેબલમાં 63 પોઈન્ટ સાથે એન્જિનિયરિંગ વિભાગ પ્રથમ, 36 પોઈન્ટ સાથે RPF બીજા અને 25 પોઈન્ટ સાથે મિકેનિકલ વિભાગ ત્રીજા સ્થાને રહ્યો હતો. ક્રિકેટ ફાઈનલમાં એન્જિનિયરિંગનો વિજયટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહેલી ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલ મેચ એન્જિનિયરિંગ અને ઓપરેટિંગ વિભાગ વચ્ચે રમાઈ હતી. જેમાં એન્જિનિયરિંગની ટીમે શાનદાર રમત બતાવી વિજેતા ટ્રોફી જીતી લીધી હતી, જ્યારે RPF રનર્સ-અપ રહ્યું હતું. વ્યક્તિગત પ્રદર્શનમાં RPFના દીપક મરીચિ 'મેન ઓફ ધ સિરીઝ', મેડિકલ વિભાગના રામકિશન કુમાવત 'શ્રેષ્ઠ બેટ્સમેન' અને એન્જિનિયરિંગના વિતુલ બારૈયા 'શ્રેષ્ઠ બોલર' તરીકે પસંદ થયા હતા. ગૌરવશાળી ઇનામ વિતરણ સમારોહસમાપન સમારોહમાં ડિવિઝન રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીનાએ વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત કર્યા હતા. તેમણે રેલકર્મીઓને ફરજની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા પ્રેરણા આપી હતી. આ આયોજનને સફળ બનાવવામાં આર.સી. મીણા, સેન્દિલ નાટકણ, પ્રતીક મહેતા, હાર્દિક રાઠોડ અને મીત ગોસ્વામીએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મુકેશી મીના, સુનીલ કુમાર મીના અને નરેન્દ્ર સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પવિત્રતાના હૃદયકુંજમાં જ્યારે પરમાત્માના જ્ઞાનનું પુષ્પ ખીલે છે, ત્યારે તેની સુગંધ સમગ્ર જીવનને સુખ અને શાંતિથી ભરી દે છે. આવા જ દિવ્ય વાતાવરણમાં રાજકોટના હેપ્પી વિલેજ રિટ્રીટ સેન્ટર ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા ‘સમર્પિત સેવા રત્નો’ના સન્માનનો એક ભાવવિભોર કાર્યક્રમ યોજાયો હતો. નવદશકોત્સવના પાવન અવસરે યોજાયેલા આ સમારોહમાં સેવા, સમર્પણ અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાતની સેવાઓને સેલ્યુટ: 1984ની યાદો તાજી થઈકાર્યક્રમના મુખ્ય વક્તા રાજયોગી મૃત્યુંજયભાઈજીએ ગુજરાતની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, ઈશ્વરીય સેવામાં ગુજરાત હંમેશા નંબર વન રહ્યું છે. આજે અહીં સૌરાષ્ટ્રના 100 રાજા-મહારાજાઓનું સન્માન થતું હોય તેવી દિવ્ય અનુભૂતિ થઈ રહી છે. તેમણે 1984ની ઐતિહાસિક યુથ રેલીને યાદ કરતા ઉમેર્યું હતું કે તે સમયે પણ ગુજરાતનો સિંહફાળો હતો. ભારતને વિશ્વગુરુ બનાવવાનું બ્રહ્માકુમારીઝનું વિઝન ચોક્કસપણે સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું ગૌરવવંતું સન્માનઆ પ્રસંગે એક વિશેષ સિદ્ધિની પણ ઉજવણી કરવામાં આવી હતી. દીપકભાઈ વિરકેએ માહિતી આપી હતી કે અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ નિમિત્તે 60,000 થી વધુ ભાઈ-બહેનોએ સામૂહિક રાજયોગ મેડિટેશન કરી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મૃત્યુંજયભાઈજીના હસ્તે ભારતીદીદીજી અને અન્ય વરિષ્ઠ બહેનોને એનાયત કરવામાં આવ્યું હતું, જે ગુજરાતની 60 વર્ષની નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. દિવ્ય ઉપસ્થિતિ અને ઊર્જાસભર પ્રસ્તુતિકાર્યક્રમની શરૂઆત ‘પ્રભુ તુમ કો સમર્પિત કરતે હે’ના ભાવપૂર્ણ આહવાન સાથે થઈ હતી. મંચ પર ગુજરાતના ડાયરેક્ટર ભારતીદીદીજી, મૃત્યુંજયભાઈ, સરલાદીદી, નેહા દીદી, ચંદ્રિકાબેન અને અમરબેનની દિવ્ય ઉપસ્થિતિએ વાતાવરણમાં તેજસ્વિતા ભરી દીધી હતી. ‘માસ્ટર હનુમંત’ અને ‘ગણેશ સ્વરૂપા’ થીમ દ્વારા ઉપસ્થિત સૌને શક્તિ અને બુદ્ધિની પ્રેરણા આપવામાં આવી હતી. દીપ પ્રજ્વલન વિધિમાં ભારતીદીદીજી, ચંદ્રિકાદીદી, મૃત્યુંજયભાઈ, દીપકભાઈ વિરકે અને અમિતભાઈ લાઠીગરા જોડાયા હતા. 108 કર્મયોગી ભાઈઓનું સન્માનઆ સમારોહમાં ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા આશરે 108 સમર્પિત ભાઈઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જયેશભાઇ સોરઠીયા અને દલસુખભાઈ બોડા જેવા અગ્રણીઓની હાજરીમાં આ તપસ્વીઓને શક્તિના પ્રતીક રૂપે દશ પ્રકારની ગદા અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આર કે યુનિવર્સિટીના વીસી અમિતભાઈ લાઠીગરાનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. કોણે શું કહ્યું? ભારતીદીદીજી: લોકો પૂછતા કે અહીં ફક્ત બહેનો જ કેમ છે? પણ આજે ગર્વ છે કે હજારો સમર્પિત ભાઈઓ પણ રાત-દિવસ પ્રભુ સંદેશ ફેલાવી રહ્યા છે. આ 'હનુમાન સમાન' વીર ભાઈઓ સંસ્થાનો મજબૂત આધાર છે. અમિતભાઈ લાઠીગરા: મનને સ્થિર રાખવું એ જ સાચી શક્તિ છે. 'સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન'ના સિદ્ધાંતને અપનાવી જો આપણે વિચારો શુદ્ધ રાખીશું તો જીવન આપોઆપ સુખમય બની જશે. સરલા દીદી: તેમણે તમામ મહાનુભાવોનો આભાર માન્યો અને સૌને સેવા તેમજ એકતાના માર્ગે અડગ રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત અંજુબેને કર્યું હતું, જ્યારે આભારવિધિ નડિયાદના બિપિનભાઈએ કરી હતી. 'ડિવાઇન ગુજરાત ન્યુઝ' દ્વારા કવર કરાયેલ આ કાર્યક્રમ સૌ માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભૂતિ બની રહ્યો હતો.
આણંદમાં સ્વામિનારાયણ ભગવાનનો 245મો પ્રાગટ્ય મહોત્સવ:‘હરિપર્વ’ પંચદિવસીય પારાયણનું આયોજન
આણંદના અક્ષર ફાર્મ ખાતે ભગવાન સ્વામિનારાયણના 245મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પાંચ દિવસીય ‘હરિપર્વ’ પારાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દ્વારા હરિભક્તોને ભગવાનના ચરણોમાં ભક્તિ અર્પણ કરવાનો વિશેષ લાભ મળશે. કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, આણંદના યુવકો દ્વારા અક્ષર ફાર્મ ખાતે મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય અને દીપમાળા દ્વારા ભક્તિ અર્પણ કરાશે. બીજા દિવસે ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવી દિવ્ય દર્શનનો લાભ અપાશે. ત્રીજા દિવસે અખંડ ધૂન અને કીર્તન ભક્તિ દ્વારા વાતાવરણ ભક્તિમય બનશે. ચોથા દિવસે પ્રભુના વૈભવી દર્શન સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું છે, અને પાંચમા દિવસે આ દિવ્ય પારાયણની પૂર્ણાહુતિ થશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીના સ્વમધુર કંઠે પીરસવામાં આવતી કથા રહેશે. તેઓ “Ancient Scriptures, Modern Inspiration” વિષય હેઠળ ભારતીય વેદો અને શાસ્ત્રોના તત્ત્વોને આધુનિક જીવન સાથે જોડતી પ્રેરણાદાયક વાતો સંગીત અને કીર્તનના સથવારે રજૂ કરશે. આ ઉપરાંત, ભગવાનના જીવન પર આધારિત એક વિશેષ પ્રદર્શન પણ યોજાશે, જેમાં ભાવિકોને નિહાળવા ઉપરાંત સહભાગી થવાનો પણ અવસર મળશે. આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા માટે સમગ્ર સત્સંગ સમાજને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નવસારી મનપાનું ₹1286 કરોડનું બજેટ રજૂ:કોઈ ટેક્સ વધારો નહીં, ઈ-વ્હીકલ-સોલર પર ભાર, ઝીરો વેસ્ટ લક્ષ્ય
નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે વર્ષ 2026-27 માટે ₹1286 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં આ બજેટ જાહેર કરાયું હતું. ગત વર્ષના ₹847 કરોડના બજેટની સરખામણીએ આ વખતે બજેટની રકમમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ બજેટમાં શહેરીજનો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. બજેટની મુખ્ય હાઈલાઈટ્સમાં સામાન્ય જનતા પર કોઈ નવો વેરો નહીં, ઈલેક્ટ્રિક વાહનો (E-Vehicles) પર ટેક્સ મુક્તિ, રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અને સોલર રૂફટોપ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાતનો સમાવેશ થાય છે. આ પહેલ 'ગ્રીન નવસારી'ના નિર્માણ પર ભાર મૂકે છે. સ્વચ્છતાના ક્ષેત્રે, શહેરના વોર્ડને 'ઝીરો વેસ્ટ વોર્ડ' તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની જેમ નવસારીને સ્વચ્છ અને સુંદર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. ગત બજેટમાં મનપા દ્વારા કુલ 37 વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાંથી 8 કામો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા છે, જેમાં મુખ્ય ટાઉન હોલનું નિર્માણ સામેલ છે. બાકીના 29 કામો હાલમાં પ્રગતિ હેઠળ છે અને આગામી સમયમાં પૂર્ણ થશે. આ વખતે બજેટ પૂર્વે નવસારી મનપાએ લોકોના મંતવ્યો મંગાવ્યા હતા. શહેરના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવીઓ દ્વારા ઈમેલ મારફતે 20થી વધુ રચનાત્મક સૂચનો મોકલવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ સૂચનોનો અભ્યાસ કરી ડ્રેનેજ સિસ્ટમ, શુદ્ધ પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ માટે કરોડોની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં શહેરના મુખ્ય માર્ગોના સુશોભીકરણ (બ્યુટીફિકેશન) પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના નવા દરજ્જા મુજબ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે આ બજેટ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ખાસ કરીને ગ્રીન એનર્જી અને વેસ્ટ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને નવસારીને સ્માર્ટ સિટી તરફ લઈ જવાની નેમ વહીવટદારોએ વ્યક્ત કરી છે.
વડોદરા જિલ્લાના આલમગઢ ગામે ચાર યુવાનો તળાવમાં ન્હાવા જતા દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા બે યુવાનો ડૂબી ગયા હતા. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે બંનેની શોધખોળ કરી રહી છે, જોકે હજુ સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે બપોરે ચાર યુવાનો તળાવમાં ન્હાવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા બે યુવાનો ડૂબી ગયા હતા.ઘટનામાં બે યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે અમિત સુરેશ તડવી અને શૈલેશ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ગઈકાલે વડોદરા ટીપી 3 ફાયર બ્રિગેડ ટીમે બંનેની શોધખોળ કરી હતી, જોકે સાંજ બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો, જેથી આજે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. ઘટનાને 24 કલાક જેટલો વીતી ગયો હોવા છતાં બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાં સતત શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તળાવમાં કાદવ કીચડ હોવાથી મૃતદેહો અંદર ફસાઈ ગયા હોવાની શક્યતા છે. જેને કારણે મૃતદેહો શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ઘટના બાદ બચી ગયેલા યુવાનો પણ નીકળી ગયા હતા.
વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરીના બનાવો અટકાવવા RPF અને GRP દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે પ્લેટફોર્મ નંબર 1 પર ગાઝીપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ચઢતી વખતે એક મુસાફરનો મોબાઈલ ચોરીને ભાગી રહેલા સુરતના એક યુવાનને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. વાપી RPF ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ASI અશોક કુમાર, CPDS સ્ટાફ અને GRPની ટીમ સ્ટેશન પર શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન ટ્રેન નંબર 20941 (ગાઝીપુર સિટી એક્સપ્રેસ) પ્લેટફોર્મ પર આવતા જ મુસાફરોની ભારે ભીડ જામી હતી. ભીડનો લાભ ઉઠાવી એક અજાણ્યો શખ્સ એક પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલ સેરવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ત્યાં હાજર સતર્ક સ્ટાફે તેને તાત્કાલિક કોર્ડન કરીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સે પોતાનું નામ અજય કરણ (ઉં.વ. 19, રહે. હરિદર્શન સોસાયટી, અમરોલી, સુરત) હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા તેની પાસેથી વિવો કંપનીનો ચોરાયેલો મોબાઈલ મળી આવ્યો હતો. આરોપીએ ટ્રેનમાં ચઢતી વખતે ભીડનો ફાયદો ઉઠાવી ફોન ચોર્યાની કબૂલાત કરી હતી. ચોરીનો ભોગ બનનાર મુસાફર દેવીપ્રસાદ રામચંદ્ર દુબે (રહે. પારડી, વલસાડ) એ RPF ઓફિસમાં આવી ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાનો આશરે ₹7,000ની કિંમતનો મોબાઈલ ઓળખી કાઢ્યો હતો. આ ઘટના અંગે GRP વાપીએ આરોપી અજય વિરુદ્ધ BNS ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણમાં પદ્મનાભ ભગવાનની 624મી જન્મજયંતિ:શોભાયાત્રા, 28 કીર્તન અને હવન સહિતના કાર્યક્રમો
પાટણમાં પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા પદ્મનાભ ભગવાનની 624મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે શહેરમાં શોભાયાત્રા, 28 કીર્તન અને હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સોમવારે સવારે નરસિંહ ભગવાન મંદિરમાં પ્રભુની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પદ્મનાભ પ્રભુને રથમાં બિરાજમાન કરીને વાજતે-ગાજતે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં નિશાન ડંકો, કળશધારી કુંવારિકાઓ, ભગવાન શ્રી પદ્મનાભજી, શ્રી ગણપતિજી, શ્રી નકળંગજી અને શ્રી હરદેવજી ભગવાનની સુંદર બગીઓ, ધજા દંડ અને વેશભૂષા ધારણ કરેલા બાળકો જોડાયા હતા. આ ઉપરાંત, પ્રથમ વખત નાસિકની મહિલા અને પુરુષ ઢોલ ત્રાસા ગ્રુપ, બેન્ડ, ડી.જે. અને ઊંટલારીઓ પણ આ યાત્રાનો ભાગ બની હતી. ઊંટલારીઓમાં મહિલા મંડળો દ્વારા ભજન-સત્સંગની રમઝટ બોલાવવામાં આવી હતી. યાત્રિકો માટે માર્ગમાં વિવિધ સ્થળોએ સેવા કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ફરીને શોભાયાત્રા પદ્મનાભ મંદિરે પહોંચી હતી. જ્યાં હિંડોળા દર્શન અને હવનનો લાભ સમાજના લોકોએ લેશે. મંદિર પરિસરમાં રાત્રિના સમયે ભજન-સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
જામનગરમાં ખોડલધામ પરિવાર દ્વારા લોટા ઉત્સવ:હજારો ભક્તોએ દર્શન, પૂજન અને મહાપ્રસાદનો લાભ લીધો
જામનગરમાં શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ અને મંદિર સમિતિ દ્વારા ચોથા વાર્ષિક 'રાંદલ માં લોટા ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. રણજીતસાગર રોડ સ્થિત ખોડીયાર પાર્ક સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજાયેલા આ ઉત્સવમાં હજારો ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ધાર્મિક મહોત્સવમાં શાસ્ત્રોક્ત પૂજન વિધિ, મહિલા સત્સંગ અને ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. ત્યારબાદ ખેલૈયાઓએ મહારાસની રમઝટ બોલાવી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માઇભક્તો આ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા. તેમણે માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચનથી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ઉત્સવ દરમિયાન મહિલા સત્સંગ મંડળો દ્વારા ભક્તિ ગીતો અને કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા. રાત્રિના સમયે ખેલૈયાઓએ પરંપરાગત ગરબા અને મહારાસની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. મહોત્સવના અંતે ખોડલધામ પરિવાર દ્વારા વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ શાંતિપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ખોડલધામ પરિવાર અને મંદિર સમિતિના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સતત ચોથા વર્ષે થયેલું આ આયોજન ખોડલધામ પરિવારની એકતા અને મા શક્તિ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે.
ગુજરાત વિધાનસભા સત્રનો 21મો દિવસ આજે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરવામાં આવશે. આજના દિવસ દરમિયાન ઊર્જા અને પંચાયત વિભાગ સાથે સાથે આરોગ્ય વિભાગના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. ઉપરાંત, બંને વિભાગોના બજેટ અંગે ચર્ચા તથા માંગણીઓ પર પણ સભ્યો વચ્ચે ચર્ચા થશે. આગામી દિવસોમાં મહત્વપૂર્ણ બિલોને ધ્યાનમાં રાખીને સત્ર વધુ ગરમાવવાની સંભાવના છે. આ વચ્ચે, ભાજપ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નામે પત્ર લખવામાં આવ્યો છે. સાથે જ અંતિમ બે દિવસ દરમિયાન વિવિધ 7 મહત્વપૂર્ણ બિલોની ચર્ચા યોજાનાર હોવાથી, તેમાં હાજરી અનિવાર્ય રાખવા સૂચના આપવામાં આવી છે. ભાજપના મુખ્ય દંડક દ્વારા પણ આ અંગે અલગથી પત્ર લખવામાં આવ્યો છે. વિશેષ રીતે, આવતીકાલે 24 માર્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિધેયક રજૂ થવાનું છે, જેને લઈ રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. વિધાનસભાના 22માં દિવસે આ બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ બિલ મુખ્યમંત્રી અથવા નાયબ મુખમંત્રી દ્વારા રજૂ કરવામાં આવી શકે છે. આવતીકાલે કુલ 4 વિધેયક પર ચર્ચા યોજાનાર છે, જેના કારણે વિધાનસભામાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમા ફાયરિંગની ઘટના બની હતી. ક્રિકેટ રમતા બોલ વાગતા ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ક્રિકેટ રમતા બોલ વાગ્યો તો ફાયરિંગ કર્યુંધોળકાના ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટ રમતા એક શખ્સને બોલ વાગ્યો હતો જેથી બંને પક્ષો સામસામે આવી ગયા હતા. મામલો ઉગ્ર થતા ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી. ફાયરિંગ થતાં પોલીસ કાફલો દોડી ગયોઘટનાની જાણ થતા જ ધોળકા ડિવિઝનના ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઈંગોલી ગામે દોડી ગયો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવા તજવીજધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ હિતુભા ગોહિલે જણાવ્યું હતું કે બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.આરોપીની ધરપકડ બાદ જ હથિયારનું લાયસન્સ હતું કે કેમ તે જાણવા મળશે.
રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે. જોકે ઉનાળામાં પણ રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશા ફેલાઈ છે. રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યુ હતુ કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના તમામ એરપોર્ટ પરથી ઉનાળામાં ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઇટ શરૂ થવાની છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરશે. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. જ્યારે ઈન્ડિગો એર લાઇન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક મહિના બાદ રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ શરૂ થઈ જશે એટલે કે એપ્રિલ અંતથી આ ફ્લાઈટ શરૂ થશે. જોકે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉનાળામાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ રહી નથી. જેનું કારણ એ છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રના મિનિસ્ટ્રી હોમ અફેર્સ વિભાગ સમક્ષ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટેની મંજૂરી માગવામાં આવેલી છે. જે હજુ સુધી મળી નથી. આ ઉપરાંત એક પણ એર લાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી નથી. જેને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો લાભ સૌરાષ્ટ્રવાસીઓને આ ઉનાળામાં પણ નહીં મળે. રાજકોટ એરપોર્ટથી 29 માર્ચથી 24 ઓક્ટોબર સુધી 14 ફ્લાઈટ ઉડાન ભરશે ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન6E 6174/5004 - દિલ્હી - 7.55 - દૈનિકAIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિક6E 7045/7046 - નવી મુંબઈ - 8.25 - દૈનિક 6E 5156/233 - મુંબઈ - 9.15 - દૈનિક AI 885/886 - દિલ્હી - 10.00 - દૈનિક 6E 956/957 - પુણે - 10.20 - મંગળ, બુધ, ગુરુ, શનિવાર6E 2284/2283 - મુંબઈ - 13.45 - દૈનિક6E 6507/6508 - બેંગ્લોર - 15.55 - દૈનિક 6E 273/5271 - મુંબઈ - 16.20 - દૈનિક 6E 6983/6984 - દિલ્હી - 17.50 - દૈનિક AI 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક 6E 2100/2104 - નવી મુંબઈ - 19.35 - દૈનિક 6E 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક 6E 6823/6824 - હૈદરાબાદ - 20.10 - દૈનિક
જૂનાગઢ શહેરના રાજકીય ગલિયારાઓમાં આજે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટનાએ ભારે જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટીના 'જૂનાગઢ સિટી વોર્ડ નંબર 6' ના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં ગત(22 માર્ચ) રાત્રે એક સભ્ય દ્વારા અત્યંત બિભત્સ અને અશ્લીલ લખાણ ધરાવતી વીડિયો લિંક શેર કરવામાં આવતા સંગઠનની આબરૂના ધજાગરા ઉડ્યા છે. આ ગ્રુપમાં અનેક પ્રતિષ્ઠિત મહિલા કાર્યકરો, કોર્પોરેટરો અને પક્ષના પદાધિકારીઓ જોડાયેલા હોવા છતાં મધરાતે 1:57 વાગ્યે આ પ્રકારનો મેસેજ આવતા સમગ્ર પક્ષમાં સોપો પડી ગયો છે. હાલ આ ઘટનાના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયુવેગે વાઇરલ થઈ રહ્યા છે, જેના કારણે ભાજપના સ્થાનિક નેતૃત્વ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. મહિલા સભ્યોમાં રોષજૂનાગઢ સિટી વોર્ડ નંબર 6ના આ ગ્રુપમાં મોડી રાત્રે અચાનક એક બિભત્સ લિંક શેર કરવામાં આવી હતી. આ મેસેજ આવતાની સાથે જ ગ્રુપમાં હાજર અન્ય જાગૃત સભ્યો ચોંકી ઉઠ્યા હતા. આ ગ્રુપમાં એક કરતા વધુ એડમિન છે અને જવાબદાર હોદ્દેદારો પણ છે, તેમ છતાં મધરાતના સમયે આવા મેસેજ આવતા મહિલા સભ્યોની સુરક્ષા અને ગરિમા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અનેક મહિલા સભ્યોએ આ બાબતે ખાનગીમાં ભારે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે હાલ આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. હજુ સુધી આ બાબત મારા ધ્યાને આવી નથી: ભાજપના કોર્પોરેટરઆ સમગ્ર મામલે જ્યારે વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું સોશિયલ મીડિયાનો બહુ ઓછો ઉપયોગ કરું છું, જેથી મને ખબર નથી કે આ સમગ્ર મામલો શું છે. હજુ સુધી આ બાબત મારા ધ્યાને આવી નથી. જોકે, જેણે પણ આવો અભદ્ર મેસેજ વાઇરલ કર્યો હશે તેને હું તાત્કાલિક ગ્રુપમાંથી મેસેજ ડિલીટ કરવા માટે સૂચના આપી દઉં છું. કોર્પોરેટરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પક્ષના જવાબદાર વ્યક્તિઓ આ વિવાદથી બચવા માટે ટેકનોલોજીની અજ્ઞાનતાનો સહારો લઈ રહ્યા છે. મને ખબર નથી કેવી રીતે લિંક સેન્ડ થઈ: મેસેજ મોકલનારબીજી તરફ, જે વ્યક્તિના નંબર પરથી આ અશ્લીલ લિંક ગ્રુપમાં મોકલવામાં આવી હતી, તેનો સંપર્ક સાધતા તેણે અત્યંત વિચિત્ર બચાવ કર્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, મને પણ ખબર નથી કે મોડી રાત્રે આ મેસેજ ગ્રુપમાં કેવી રીતે થઈ ગયો. કદાચ મારો મોબાઈલ હાથમાંથી પડી ગયો હશે અને તેના કારણે અજાણતા જ આ લિંક ગ્રુપમાં સેન્ડ થઈ ગઈ હોય તેવું બની શકે. ‘ભાઈ, આ ગ્રુપમાં આવા વીડિયો ના મૂકો. આમાં લેડીઝ પણ હોઈ શકે’આ ઘટનામાં ગ્રુપના એક મેમ્બર દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પક્ષના કાર્યોના મેસેજ અન્ય ગ્રુપમાં શેર કરી રહ્યા હતા, ત્યારે રાત્રે 1:57 વાગ્યે વોર્ડ નંબર 6ના ગ્રુપમાં આ અશ્લીલ લિંક જોઈ હતી. તેમણે તરત જ એ જ ગ્રુપમાં વળતો મેસેજ લખીને ટકોર કરી હતી કે, ભાઈ, આ ગ્રુપમાં આવા વીડિયો ના મૂકો. આમાં લેડીઝ પણ હોઈ શકે છે. આ ભારતીય જનતા પાર્ટીનું ગ્રુપ છે, તમે કેવા વીડિયો મૂકો છો એ જરા જોઈ લો. સ્ક્રીનશોટ વાઇરલ થતા જૂનાગઢ ભાજપમાં ખળભળાટહાલમાં તો આ અશ્લીલ મેસેજના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જૂનાગઢ ભાજપમાં ભારે ખળભળાટ મચ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ કાર્યકરો અને હોદ્દેદારોમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સંગઠન દ્વારા આવા બેજવાબદાર સભ્ય સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. આ ઘટનાએ ડિજિટલ માધ્યમોના ઉપયોગ અને તેમાં જળવાતી મર્યાદાઓ અંગે નવેસરથી ચર્ચા જગાવી છે. ખાસ કરીને જ્યારે સત્તાધારી પક્ષના ગ્રુપમાં આવી ઘટના બને ત્યારે વિપક્ષને પણ મોટું હથિયાર મળી જતું હોય છે. આગામી દિવસોમાં આ મામલે પક્ષના મોટા ગજાના નેતાઓ શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા છે. ચાણસ્મા તાલુકાના ઝીલાયા ગામે બનેલી ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે 23/03/2026 ના રોજ 24 કલાક માટે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધાત્મક આદેશો ચાણસ્માના ઝીલાયા ગામની ઘટનાના સંદર્ભમાં આવ્યા છે. આ ઘટનામાં આરોપીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ જાહેરાત કરી હતી. અભિજિતસિંહ બારડે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે 23/03/2026 ના રોજ વામૈયા ગામે સભા યોજવા, કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રવેશબંધી જેવા નિર્ણયો લેવાની જાહેરાત કરી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી પોલીસ અધિક્ષકની દરખાસ્તના આધારે પ્રતિબંધાત્મક પગલાં લેવા જરૂરી બન્યા હતા. પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હિરેન ચૌહાણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 163 હેઠળ આ આદેશો જારી કર્યા છે. આ આદેશો સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 23/03/2026 ના 00:00 કલાકથી 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ, કોઈપણ મંડળી, સભા કે સરઘસમાં ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. તેમજ કોઈ સભા બોલાવી કે સરઘસ કાઢી શકાશે નહીં. જોકે, સરકારી ફરજ પરના વ્યક્તિઓ, લગ્ન પ્રસંગો અને સ્મશાન યાત્રા જેવી બાબતોમાં પૂર્વ મંજૂરી સાથે આ પ્રતિબંધમાંથી છૂટછાટ મળશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કાલાવડમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત જાહેર સભામાં ભાજપના અનુભવી નેતા નાનજી ચોવટીયા સત્તાવાર રીતે AAPમાં જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાના હસ્તે તેમને પાર્ટીનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. તેમની સાથે અનેક કાર્યકર્તાઓ પણ AAPમાં સામેલ થયા હતા. આ રાજકીય ઘટનાથી કાલાવડ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં નવી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નાનજીભાઈ ચોવટીયાએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ વ્યવસાયે ખેતી તથા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે, જેના કારણે તેમનો લોકો સાથે ગાઢ સંપર્ક છે. તેમની સરળતા, કાર્યશૈલી અને લોકસંપર્કને કારણે તેઓ વિસ્તારના પ્રભાવશાળી પાટીદાર નેતા તરીકે જાણીતા છે. તેમની રાજકીય કારકિર્દી 1994માં યુવા ભાજપના પ્રમુખ તરીકે શરૂ થઈ હતી. 1995માં તેઓ કાલાવડ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની નેતૃત્વ ક્ષમતાને કારણે 1998થી 2005 દરમિયાન તેમણે તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 2010થી 2015 દરમિયાન તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સમયગાળામાં તેમણે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી. શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વિકાસ માટેના તેમના કાર્યોને કારણે તેમને વિશેષ માન-સન્માન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, 2001થી તેઓ કાલાવડ સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ તરીકે કાર્યરત છે. સહકારી ક્ષેત્રમાં તેમના નેતૃત્વ હેઠળ અનેક વિકાસલક્ષી નિર્ણયો લેવાયા છે, જેનાથી ખેડૂતો અને સભ્યોને સીધો લાભ મળ્યો છે. AAPમાં જોડાતા નાનજીભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે, તેઓ લોકોની સેવા અને વિકાસ માટે નવી દિશામાં કાર્ય કરવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, તેઓ પારદર્શક અને જવાબદાર શાસન માટે કાર્ય કરશે અને જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ નાનજીભાઈનું સ્વાગત કર્યું હતું અને તેમના જોડાવાથી પાર્ટી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, નાનજીભાઈનો વિશાળ અનુભવ અને લોકપ્રિયતા પાર્ટીને ભવિષ્યમાં ચોક્કસ ફાયદો પહોંચાડશે. ગોપાલ ઇટાલિયા અને પ્રકાશ ડોંગાએ જાહેર સભામાં લોકોને ભાજપના ભ્રષ્ટાચાર અને ભયમાંથી મુક્ત થવા માટે AAPને સમર્થન આપવા અપીલ કરી હતી અને આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન ઝાડુમાં મત આપી ભાજપને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે તેવા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ પ્રકાશભાઈ દોંગા, જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, કાલાવડ વિધાનસભાના પ્રભારી કે.પી.બથવાર, તાલુકા પ્રમુખ જેરામભાઈ બુશા, શહેર પ્રમુખ રમેશભાઈ વણપરિયા, દયાબેન મકવાણા, ડૉ કલ્પેશ મકવાણા, ડૉ.જીગ્નેશ સોલંકી, અલ્પાબેન મારકણા, સહદેવ સિંહ જાડેજા, વેલુભા જાડેજા, જે. બી. લશ્કરી, દેવરાજ વૈષ્ણવ સહિત પાર્ટીના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ઉમંગ સાથે યોજાયો હતો. નાનજીભાઈ ચોવટીયાના આમ આદમી પાર્ટીમાં જોડાવાના આ ઘટનાક્રમે કાલાવડના રાજકારણમાં નવી દિશા અને ગતિ આપવાની સંભાવનાઓ ઉભી કરી છે, અને આવનારા સમયમાં તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળશે તેવું જાણવા મળ્યું છે.
મોરબીમાં રબારી-ભરવાડ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:શિક્ષણ, સંગઠન અને રાજકારણ પર આગેવાનોનો ભાર
મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની અસ્મિતા તથા એકતાને વધુ મજબૂત કરવા માટે મચ્છુ માતાજીના મંદિરે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બંને સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં સમાજ શિક્ષણ, સંગઠન અને રાજકારણમાં આગળ વધે અને વધુ મજબૂત બને તે વાત પર આગેવાનોએ ભાર મૂક્યો હતો. વર્તમાન સમયમાં સમાજના વિકાસ માટે સંગઠનશક્તિ અનિવાર્ય છે. 'એકલા ચાલવા કરતાં સાથે મળીને ચાલવાથી વધુ દૂર અને મજબૂતીથી પહોંચી શકાય છે' તે ભાવનાને સાર્થક કરવા માટે મોરબીમાં રબારી અને ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા આ બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લામાંથી સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં બંને સમાજના આગેવાનોએ એક મજબૂત સંગઠન બનાવવા માટે આહ્વાન કર્યું હતું. મોરબી જિલ્લાથી શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં રબારી અને ભરવાડ સમાજનું મજબૂત સંગઠન બને તેવું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, સમાજ રાજકારણમાં પણ મજબૂત રીતે આગળ આવે તે માટે સંગઠન શક્તિને અનિવાર્ય ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, સંગઠન નિર્માણ માટે યોજાયેલી આ બેઠક માટે કોઈ લેખિત આમંત્રણ અપાયું ન હતું. માત્ર સોશિયલ મીડિયા સંદેશ દ્વારા હજારોની સંખ્યામાં લોકો મચ્છુ માતાજી મંદિરે આ બેઠકમાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મચ્છુ માતાજી મંદિરના મહંત, દેવેનભાઈ રબારી, વિનોદભાઈ ડાભી, હીરાભાઈ ટમારિયા સહિતના રબારી અને ભરવાડ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા નહીવત છે. ત્રણ દિવસ કમોસમી વરસાદ થયા બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં તાપમાનમાં ફરી વધારો નોંધાશે. આવતીકાલથી રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાનમાં વધારો થતા રાજ્યમાં ગરમીમાં પણ વધારો નોંધાશે. અત્યારે પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પરંતુ તેની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશેઃ હવામાનહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશે. ઉત્તર પશ્ચિમથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાનછેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 35.8 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 34.9 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 35.7 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 33.7 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 32.2 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 35.3 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.1 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 28 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 3.5 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 33.2 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 30.8 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 33.3 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 36.5 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 33.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મોહંમદ સાજીદ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી મિત્રતાઈચ્છાપોર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીરા માર્ચ-2025માં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી લિંબાયતની ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા 23 વર્ષીય મોહંમદ સાજીદ ઉર્ફે અહદ મોહંમદ જાવેદ પઠાણના સંપર્કમાં આવી હતી. સાજીદે મીઠી-મીઠી વાતો કરીને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. તેણે સગીરાને લગ્ન કરવાનું વચન આપી વિશ્વાસમાં લીધી હતી. નગ્ન ફોટા મંગાવી બ્લેકમેલિંગ શરૂ કર્યુંઆરોપી મોહંમદ સાજીદની દાનત પહેલેથી જ ખરાબ હતી. તેણે સગીરા પાસે વોટ્સએપ પર તેના નગ્ન ફોટાઓની માંગણી કરી હતી. ભોળી સગીરા તેની વાતોમાં આવી ગઈ હતી અને ફોટા મોકલ્યા હતા. બસ, આ જ ક્ષણથી આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું હતું. આ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપીને તે સગીરા પર દબાણ લાવવા લાગ્યો હતો. હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને વીડિયો ઉતાર્યોધમકીઓથી ડરી ગયેલી સગીરાને સાજીદ પાલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલેથી જ ન અટકતા, નરાધમ સાજીદે અંગત પળોનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે તે સતત સગીરાને બ્લેકમેલ કરતો રહ્યો અને તેના ઘરની આસપાસ આંટાફેરા મારીને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. ભાઈએ મોબાઈલ જોતા ભાંડો ફૂટ્યોઆ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાનો મોબાઈલ ફોન તેના ભાઈના હાથમાં આવ્યો. મોબાઈલમાં ચેટ અને ફોટા જોઈને ભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે સગીરાનો ભાઈ સાજીદને સમજાવવા અને ઠપકો આપવા ગયો, ત્યારે આરોપીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. સાજીદે ધમકી આપતા કહ્યું હતું કે, 'તને ઊંચકાવીને ગમે ત્યાં ફેંકી દઈશ.' પોલીસે ગ્લાસની દુકાનમાં મજૂરી કરતા આરોપીને દબોચ્યોપરિવારે હિંમત હાર્યા વગર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહંમદ સાજીદ પઠાણની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સાજીદ શહેરમાં એક ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરે છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને આરોપીએ અન્ય કોઈ યુવતીને આ રીતે ફસાવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા વોર્ડ નં. 18ના ભાજપના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડના નિવાસસ્થાને અજાણ્યા શખ્સોએ રેકી કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને માંજલપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ‘અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી રેકી કરી’રવિવારે (22 માર્ચ)બપોરે લગભગ સવા બેથી અઢી વાગ્યાની વચ્ચે એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી કલ્પેશ પટેલના ઘર નજીક આવી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સો તેમના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. તેઓએ ઘરમાં પ્રવેશીને રેકી કરી ગયા હોવાનો પણ દાવો કલ્પેશ પટેલે કર્યો છે. રેકી કરતા શખ્સો CCTVમાં કેદCCTV ફૂટેજમાં ત્રણ જેટલા અજાણ્યા શખ્સો નજરે પડ્યા હતા. તેમના ચહેરા અને હલચલના આધારે લૂંટ અથવા અન્ય ગુનાહિત ઇરાદાથી આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાદ CCTV તપાસતા જાણવા મળ્યું કે અજાણ્યા શખ્સો રેકી કર્યા બાદ સ્થળ પરથી ભાગી ગયા હતા. સમગ્ર મામલો માંજલપુર પોલીસ સુધી પહોંચ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી મારા ઘર પાસે આવી: પૂર્વ કાઉન્સિલરભાજપના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, રવિવારે બપોરે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. અચાનક બે ગાડીઓ એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી મારા ઘર પાસે આવી હતી. CCTV ફૂટેજમાં જોતા લગભગ ત્રણ અજાણ્યા શખ્સો મારા ઘરમાં પ્રવેશતા દેખાય છે. તેમના ચહેરા અને હાવભાવ પરથી ચોક્કસપણે એવું લાગે છે કે તેઓ લૂંટના ઈરાદે જ આવ્યા હતા. ‘મને ન્યાયની પૂરી આશા છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં આ અંગે માંજલપુર પોલીસમાં અરજી આપી દીધી છે. હવે આ પોલીસ તપાસનો વિષય છે કે તેઓ કોણ હતા અને તેમનો સાચો હેતુ શું હતો. મને ન્યાયની પૂરી આશા છે. અત્યારે રાજ્યમાં ભાજપની સરકાર છે અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ તંત્ર માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે પોલીસ તંત્ર આ મામલે ત્વરિત તપાસ કરીને મને ચોક્કસપણે ન્યાય અપાવશે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલું ઐતિહાસિક ડિમોલિશન અત્યારે તંત્રની ઉદાસીનતાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ એક અભૂતપૂર્વ આયોજન સાથે આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત વર્ષો જૂના 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ તે સમયે એવો દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવામાં આવશે અને નદીના પટમાં વિકાસકાર્યો હાથ ધરીને વિસ્તારનો કાયાકલ્પ કરવામાં આવશે. જોકે, આ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો હોવા છતાં, સ્થિતિ જૈસે-થે જોવા મળી રહી છે, જેના કારણે ફરી ગેરકાયદેસર દબાણો ઉભા થવાની દહેશત છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં જંગલેશ્વરમાં થયેલા ઐતિહાસિક ડિમોલિશન સમયે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાહેરાત કરી હતી કે આ વિસ્તારમાં રસ્તાનું કામ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઇસ્ટઝોનના બાંધકામ વિભાગ અને ટી.પી. શાખા વચ્ચે સંકલનના અભાવે રસ્તા બનાવવાની પ્રક્રિયા કાગળ પર અટકેલી છે. ઇસ્ટઝોનના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર શ્રીવાસ્તવ દ્વારા પણ આ રસ્તાના કામ અંગે કોઈ સ્પષ્ટ વિગતો કે સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, આજી નદીના પટમાં હજુ પણ કાટમાળના ઢગલા પડ્યા છે, જે વિસ્તારની સુંદરતા બગાડવાની સાથે સાથે ગંદકી અને અવરોધનું કારણ બની રહ્યા છે. તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કે ત્યાં ગાર્ડન અથવા રિવરફ્રન્ટ જેવા કોઈ વિકાસલક્ષી આયોજનની દિશામાં હજુ સુધી કોઈ નક્કર કદમ ઉઠાવવામાં આવ્યા નથી.સૌથી ગંભીર બાબત એ છે કે વિકાસના કામોમાં વિલંબ થવાને કારણે આ વિસ્તાર અત્યારે ખંઢેર જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે. અગાઉના અનુભવો મુજબ, મોટા પાયે ડિમોલિશન થયા બાદ ત્યાં તરત ફેન્સિંગ કે બાંધકામ કરવામાં ન આવે, ત્યારે ફરીથી દબાણો થવાની શક્યતા વધી જાય છે. જંગલેશ્વરમાં પણ અત્યારે આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યાં કેટલાક સ્થળોએ ફરીથી કાચા કે પાકા બાંધકામો શરૂ થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જો તંત્ર વહેલી તકે જાગશે નહીં, તો ગરીબોના આશિયાના તોડીને જે હેતુ માટે જગ્યા ખાલી કરાવવામાં આવી હતી, તે હેતુ માર્યો જશે. આ માટે સીધી રીતે ટી.પી. વિભાગ અને બાંધકામ શાખાની જવાબદારી નક્કી થવી જોઈએ. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મ્યુ. કમિશનરે આ મામલે રસ્તાકામને મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું હતું. જોકે હાલમાં વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ શંકા જન્માવે છે. ત્યારે હવે વહીવટદાર અને કમિશનરે રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ. જો ભવિષ્યમાં આ જમીન પર ફરીથી દબાણો થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગના અધિકારીઓની રહેશે. જનતાના પરસેવાના પૈસા અને તંત્રની મહેનત એળે ન જાય તે માટે યુદ્ધના ધોરણે રસ્તાકામ અને નદીના પટના વિકાસકામો શરૂ કરવામાં આવે તે જરૂરી છે. જોકે વહીવટદાર રેમ્યા મોહન અને મ્યુ. કમિશનર તુષાર સુમેરા આ અંગે ક્યારે અને શું પગલાં લેશે તે આવનારો સમય જ બતાવશે.
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના જ મકાનના ઉપરના રૂમમાં પંખા સાથે કપડાનું દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની જૂનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નજીકમાં જ પરીક્ષા હોવાથી તેના ટેન્શન અને દબાણને કારણે સગીરાએ આ આત્મઘાતી પગલું ભર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પરીક્ષાના કારણે ટેન્શનમાં હતીમૃતક વિદ્યાર્થિનીના પિતા કેશોદમાં હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે અને મૃતક નાની દીકરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આકસ્મિક મોતની વિગતો મુજબ, મૃતક ભણવામાં હોશિયાર હતી, પરંતુ પરીક્ષાના ભારને કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી. જ્યારે પરિવારના સભ્યો ઘરે હતા ત્યારે જ તેણે ઉપરના માળે જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી: PIઆ મામલે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. જાદવે જણાવ્યું હતું કે પરીક્ષા તો જીવનમાં આવતી-જતી રહેશે, પણ જિંદગી ફરી નહીં મળે. આ કેસમાં જાણવા મળ્યું છે કે બાળકી પરીક્ષાનું પ્રેશર સહન નહોતી કરી શકી. મારી તમામ વાલીઓને અપીલ છે કે તમારા સંતાનોની ક્ષમતા સમજો. તેમની ઉપર અતિશય અપેક્ષાઓનો ભાર ન મૂકો. બાળકોને તેમની મનગમતી સ્ટ્રીમ પસંદ કરવા દો જેથી તેઓ દબાણમાં ન આવે. વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી, હિંમત હારીને આવું પગલું ક્યારેય ન ભરો. પરિવારમાં આક્રંદઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક હસતા-રમતા પરિવારની લાડકવાયી દીકરીએ આ રીતે વિદાય લેતા પરિવાર પર આભ ફાટ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં નવ દિવસના બાળકની તસ્કરીનો પર્દાફાશ થયો છે. આ મામલે સાબરકાંઠા AHTU શાખાએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. બાળકની અમદાવાદમાં બે લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને બે લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હતું. સાબરકાંઠા AHTU શાખાના વિક્રમસિંહને ખાનગી બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી નવજાત બાળકોની તસ્કરીમાં સંડોવાયેલો છે. બાતમીના આધારે, માલજીને ખેડબ્રહ્માના મટોડા ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, માલજીએ કબૂલ્યું કે તેણે લગભગ પંદર દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને રૂ. 2 લાખમાં વેચ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હકીકત સાચી જણાતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની કલમ 143(4), 61(2)(A), 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા A.H.T.U ટીમને બાળ તસ્કરીના આ ભેદને ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલા પાંચ આરોપીઓમાં સાબરકાંઠા જિલ્લાના બે, ઉદેપુર જિલ્લાના બે અને અમદાવાદ જિલ્લાનો એક આરોપી સામેલ છે. તેમના નામ આ મુજબ છે: 1. માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી (રહે. પોણાઈ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા), 2. સુવન ઉર્ફે સોવમ નાનજીભાઇ ડાભી (રહે. દિગ્ધલી ઉપલુ ફળિયુ, ખેડબ્રહ્મા, તા. ખેડબ્રહ્મા), 3. દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. પારધીફળો, મામરે, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન), 4. લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી (રહે. ડાભી ફળો, મેડી ગામ, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન), 5. પ્રમોદભાઈ રાજારામ રાજવંશી (દરબાદ) (રહે. સીટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસાયટી, તા. જિ. અમદાવાદ).
હિંમતનગરના ગઢોડામાં અનોખી ચૈત્ર નવરાત્રી:વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિભાવથી ઉજવણી
હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં ચૈત્ર મહિનાની નવરાત્રીનો અનોખો ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. સામાન્ય રીતે આસો મહિનામાં નવરાત્રી ઉજવવામાં આવે છે, પરંતુ ગઢોડામાં વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્ર નવરાત્રીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ગામના નવરાત્રી માઈ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. ગઢોડા ગામની માધ્યમ માતાજીની 'ફરતી નવરાત્રી' અહીંનું મુખ્ય આકર્ષણ છે. શુભ મુહૂર્તમાં માતાજીની સ્થાપના કર્યા બાદ માંડવી ફરતી જોવા મળે છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા અને ઉત્સાહ જગાવે છે. નવરાત્રી ચોકને આકર્ષક લાઈટિંગ અને શણગારથી સજાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે વિવિધ કલાકારોની પાર્ટીઓ દ્વારા ગરબાનું આયોજન થાય છે, જેમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમે છે. ફરતી માંડવી આ નવરાત્રીનું એક વિશિષ્ટ આકર્ષણ બની રહી છે. ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ગરબા રમવા અને માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. આના કારણે ગઢોડા ગામમાં ભક્તિમય અને ઉત્સવી માહોલ છવાઈ ગયો છે.
ગીર સોમનાથની CBSC ક્ષેત્રે અગ્રેસર ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા અને તેમનામાં હુન્નર પારખવા માટે એક અનોખા ફન ફેયેસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાર્થીઓને હાઈજેનિક ફૂડ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ગેમ્સ સ્ટોલ અને વિવિધ એક્ટિવિટીઝના સ્ટોલ ઊભા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વેરાવળના ગવર્નર રો. ગિરીશ ઠક્કરના હસ્તે રીબીન કાપીને ફન ફેયેસ્તાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા ફન ફેયેસ્તાની ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્ટોલમાંથી થતી સંપૂર્ણ આવક વિદ્યાર્થીઓ પોતે રાખી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી તેઓમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ઉત્સાહ વધે. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉત્સુકતા વધારવાનો અને તેમને વ્યવહારુ બનાવવાનો હતો. પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના માર્ગદર્શન હેઠળ, વાઇસ પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને અધ્યાપકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને વેરાવળ શહેરના નાગરિકોએ ફન ફેયેસ્તાની મુલાકાત લીધી હતી અને સ્કૂલના આ વ્યવસાયિક કાર્યને બિરદાવ્યું હતું. વાલીઓએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા બદલ સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. ફન ફેયેસ્તામાં ડિંગુ કાર્ટૂન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ આ ફન ફેયેસ્તાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, તેમ એક યાદીમાં જણાવાયું હતું.
રેલવે વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યો અને શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, અમદાવાદના અસારવાથી રાજસ્થાનના ઉદયપુર સુધી જતી વંદે ભારત ટ્રેનને યાત્રાધામ શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓને લાભ મળશે. શામળાજી રેલવે સ્ટેશન ખાતે આ સ્ટોપેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવીને શામળાજી સ્ટોપેજનું સત્તાવાર પ્રારંભ કરાયો હતો. અગાઉ, અમદાવાદના અસારવાથી ઉદયપુર જતી વંદે ભારત ટ્રેનને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જોકે, અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની લાંબા સમયથી માંગ હતી. સ્થાનિક સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી શામળાજી મંદિરે આવતા દર્શનાર્થીઓ અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે.
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઈન ઠગાઈ, પ્રતિબંધિત સટ્ટા ગેમિંગ અને સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને વડોદરા તાલુકા પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે નાગરિકોને લલચાવી ગેરકાયદે જુગાર રમાડતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં આવા ગુનાઓ પર કડક નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાનમાં વિભાગીય પોલીસ અધિક્ષક મિલન મોદી દ્વારા પણ તાકીદના પગલાં લેવા સૂચના અપાઈ હતી. “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ટાંક અને તેમની ટીમે બાતમીના આધારે તા. 21 માર્ચના રોજ ભાયલી ગામે સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ, ઘર નંબર એ-504 ખાતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી પ્રતિબંધિત ઓનલાઈન સટ્ટા રમાડવા માટે ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી સાથે પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ ટેલીગ્રામ મારફતે તીનપત્તી, રૂલેટ, અંદર-બહાર અને રમી જેવી ગેરકાયદેસર ગેમ્સનું પ્રમોશન કરતા હતા. તેઓ ગ્રાહકોને આઇડી અને પાસવર્ડ આપી જુગાર રમવા માટે એક્સેસ આપતા હતા. આ સમગ્ર રેકેટનો સુત્રધાર હર્ષિત ઉર્ફે બ્રહ્મા હોવાનું સામે આવ્યું છે, જે હાલ દુબઈમાં રહે છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,81,500ના મુદ્દામાલ તરીકે 2 લેપટોપ, 16 મોબાઇલ ફોન, 2 પાસપોર્ટ, 12 ડેબિટ/ક્રેડિટ કાર્ડ, 2 વાઇફાઇ બોક્સ તથા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો કબ્જે કર્યા છે. આ મામલે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં દર્શન જેઠવા, જોકિમ મેકવાન, શેખર કશ્યપ, ધ્રુતિ મેકવાન અને મોહમદ આરિફ પટેલનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય સુત્રધાર હર્ષિત ઉર્ફે બ્રહ્મા હજુ પણ ફરાર છે.
પાટણ SOG શાખાએ ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સને દેશી હાથબનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. ઈટોડા ગામના નેળિયામાંથી આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. SOG પોલીસ કર્મચારીઓ ચાણસ્મા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, ઈટોડા ગામના બસ સ્ટેન્ડ પાસે તેમને બાતમી મળી હતી કે ઈટોડાથી અંબાલા જતા કાચા નેળિયામાં એક વ્યક્તિ દેશી બંદૂક સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે બે પંચોને સાથે રાખીને તે સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે નેળિયામાં ઉભેલા ગુલમહમદ ઉર્ફે અબ્દુલ હોથભાઇ હયાભાઇ (રહે. ઈટોડા, મૂળ રહે. અમરાપુર પાટી, તા. સમી) ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા, તેના હાથમાંથી એક દેશી હાથબનાવટની બંદૂક મળી આવી હતી. હથિયાર રાખવા અંગે પરવાનો માંગતા, તેની પાસે કોઈ પાસ-પરમીટ ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આશરે 2500 રૂપિયાની કિંમતની, 4 ફૂટ 5 ઇંચ લાંબી દેશી બંદૂક જપ્ત કરી હતી. આ મામલે SOGના આર્મ પોલીસ કોન્સ્ટેબલ ભરતજી હમીરજીએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર નવીનચંદ્ર પંડ્યાને સોંપવામાં આવી છે.
ભાવનગર એસપી નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓ સામે કડક પગલાંરૂપે અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આજે 23 માર્ચે વહેલી સવારથી ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનો પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ચાર જેસીબી મશીનો દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસકર્મીઓ માટે માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ:બ્રહ્મા કુમારીઝ દ્વારા ગીર સોમનાથમાં વર્કશોપ યોજાયો
પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સોમનાથ દ્વારા ગીર સોમનાથ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથના શ્રીરામ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં સુરક્ષા દળના જવાનો, પોલીસ વિભાગ, તટ રક્ષક દળ અને આર્મીના કર્મચારીઓને શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. બ્રહ્માકુમારી વિશ્વાબેને આ અંગે માહિતી આપી હતી. ઉત્તર પ્રદેશના સારંગપુરથી આવેલા બી.કે. સૌરભ ભાઈએ 'શાંત મન – સક્ત રાષ્ટ્રનું નિર્માણ' વિષય પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રસેવામાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્વસ્થ આહાર, દિવસમાં સાત કલાકની પૂરતી ઊંઘ અને પ્રાણાયામ તેમજ વ્યાયામ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. કાર્યક્રમ દરમિયાન, પોલીસ વિભાગના કર્મચારીઓને તેમની ફરજ ઉપરાંત પરિવાર સાથે સંયમ અને શાંત મનથી સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ સરખી હોતી નથી, તેથી તેને સમજીને કાઉન્સિલિંગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર નિર્માણમાં સુરક્ષા દળ અને પોલીસ વિભાગ અવિરતપણે પોતાની ફરજ નિભાવે છે. તેમના માનસિક સંતુલન જળવાઈ રહે તેવા શુભ હેતુથી સમગ્ર ગુજરાતમાં આવા આયોજનો કરવાનું આહ્વાન કરાયું છે. આના ભાગરૂપે, ગીર સોમનાથ જિલ્લાના એસપી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ખેંગાર સાહેબ, પીઆઈ ગોસ્વામી સાહેબ અને પીઆઈ ગઢવી સાહેબ સહિતના અધિકારીઓના સહયોગથી આ વર્કશોપ યોજાયો હતો. જેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસકર્મીઓએ લાભ લીધો હતો. બી.કે. અસ્મિતા દીદીએ ધ્યાન તકનીક પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રોજ સવારે 10 મિનિટ માટે મેડિટેશન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું અત્યંત આવશ્યક છે. શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે મેડિટેશન એકમાત્ર એવો ઉપાય છે જેનાથી તણાવમુક્ત જીવન જીવી શકાય છે.
સમગ્ર વિશ્વમાં 22 માર્ચના રોજ ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1992માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 22 માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેની સૌપ્રથમ ઉજવણી 1993માં થઇ હતી. ત્યારથી આ દિવસ જળ સંરક્ષણ માટેના વૈશ્વિક આંદોલનનું જીવંત પ્રતીક બની ગયો છે. યુનાઈટેડ નેશન્સના નિર્ધારિત લક્ષ્યાંક મુજબ, વર્ષ 2030 સુધીમાં પ્રત્યેક માનવીને ‘સ્વચ્છ પાણી અને સેનિટેશન’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને આ દિવસ વેગ આપે છે. જે ગામના પાણીનું સુકાન બહેનોના હાથમાં છે, તે ગામનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય બંને સુરક્ષિત છે.’ વિશ્વ જળ દિવસ માત્ર પાણી બચાવવાનો સંદેશ નથી, પરંતુ આ વર્ષની થીમ વોટર એન્ડ જેન્ડર (જળ અને લિંગ) અંતર્ગત પાણી અને મહિલાઓના અતૂટ સંબંધને સમજવાનો અવસર છે. છોટાઉદેપુર જેવા ડુંગરાળ અને આદિવાસી બહુલ જિલ્લામાં પાણી એ માત્ર જીવનની જરૂરિયાત નથી, પણ સ્ત્રીઓના આર્થિક અને સામાજિક ઉત્થાનનું માધ્યમ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, પાવીજેતપુર અને નસવાડી જેવા તાલુકાઓનું ભૂપૃષ્ઠ ડુંગરાળ હોવાથી ઉનાળો આવતાં જ જળસ્તર ઊંડા ઉતરી જતાં હતા. પરિણામે, માતા-બહેનો માટે પીવાનું પાણી મેળવવું એ એક કપરો પડકાર હતો. પરંતુ, ‘જલ જીવન મિશન’ અને ‘નલ સે જલ' યોજનાએ અંતરિયાળ ગામડાઓમાં ઘરે ઘરે પાણી પહોંચાડી સ્થિતિ બદલી નાખી છે. આજે જિલ્લાની હજારો મહિલાઓ માત્ર ‘પાણી લાવનાર’ (Water Carriers) મટીને ‘જળનું સંચાલન કરનાર’ (Water Managers) બની છે. સરકારના ‘વાસ્મો’ દ્વારા જિલ્લાના પ્રત્યેક ગામે ‘પાણી સમિતિ'ની રચના કરવામાં આવી છે, જેમાં 50% થી વધુ મહિલા સભ્યો છે. પાણીના વિતરણનો સમય નક્કી કરવાથી લઇને પાઇપલાઇનના જોડાણ સુધીના મહત્વના નિર્ણયોમાં હવે નારીશક્તિનું નેતૃત્વ દેખાય છે. વપરાયેલા પાણીના વ્યવસ્થાપન દ્વારામહિલાઓ ઘરઆંગણે શાકભાજી ઉગાડે છેછોટાઉદેપુરની હજારો મહિલાઓને ‘ફિલ્ડ ટેસ્ટિંગ કિટ'' દ્વારા પાણીની તપાસકરવાની વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવી છે. શુદ્ધ પાણી મળવાને કારણેજિલ્લામાં ટાઇફોઇડ અને કોલેરા જેવા જળજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયોછે, જેનો સીધો લાભ ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને મળ્યોછે. ઉપરાંત, વપરાયેલા પાણીના વ્યવસ્થાપન દ્વારા આદિવાસી મહિલાઓઘરઆંગણે શાકભાજી ઉગાડી ‘પોષણ યુક્ત’ આહાર મેળવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જગ્યાએ થતોપાણીનો વેડફાટ અટકાવવો જરૂરી છેજળ એ જીવન છે જળ વગર જીવ નથી. ઘણી જગ્યા પર પાણીનો વેડફાટ થતોહોય છે અને તેની કિંમત સમજાતી નથી. પરંતુ જ્યારે દુકાળ જેવી સ્થિતિસર્જાય તેવા સમયે દરેકનેપાણીનું મહત્વ સમજાય છે.ગ્રામીણ વિસ્તારોમાં ઘણીજગ્યાએ પાણીનો વ્યર્થ વ્યય થતો હોય છે. તળાવમાં સંગ્રહાયેલું પાણી તથાબોર અને કૂવાના પાણીની મોટર ચાલતી હોય અને પાણી બહાર ઢોળાતું હોયતેવું પણ જોવા મળતું હોય છે. આ પાણીનો વેડફાટ અટકાવવો જોઇએ અનેદરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજી જળનું રક્ષણ કરવું જોઇએ.
સમગ્ર વિશ્વમાં જ્યારે ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે ત્યારે દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રવિવારે 22 માર્ચે વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાથી પક્ષી બચાવો અભિયાન ચલાવતું આ મંડળ આ વર્ષે પણ 20 વર્ષની જૂની પરંપરાને જાળવી રાખવામાં સફળ રહ્યું છે. શહેરના ‘અજય દેસાઈ પ્રકૃતિ ભવન’ ખાતે આયોજિત આ વિશેષ અભિયાનમાં રવિવારની રજા હોવા છતાં નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. રવિવારે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં બપોરના 1 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં પક્ષીઓ માટે ઉપયોગી એવી 500થી વધુ ચીજવસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અબોલ પક્ષીઓને પાણી મળી રહે તે માટે માટીની તાસકોનું વિશેષ વિતરણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દાહોદના પર્યાવરણ પ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉમટી પડીને ચકલીઓના સંવર્ધન માટે પોતાનું યોગદાન આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત પક્ષીઓને સુરક્ષિત આશરો મળી રહે તે માટે લાકડાના મજબૂત માળા, પરંપરાગત માટીના માળા, આધુનિક બર્ડ ફીડર અને કુદરતી અનુભવ કરાવતા કાથીના વિવિધ આકારના માળાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. મંડળના સભ્યો દ્વારા ખડેપગે રહીને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી અને નગરજનોને પક્ષીઓના સંરક્ષણ અંગે જાગૃત કર્યા હતા.
આદિવાસી પરીવારોમાં ખુશીનો માહોલ:જાંબુઘોડા તા.ના જંગલમાં મહુડાના ફૂલની સીઝન શરૂ
પંચમહાલ જિલ્લા સહિત જાંબુઘોડા તાલુકામાં વસવાટ કરતા આદિવાસી પરિવાર માટે આશીર્વાદ ગ્રુપ ગણાતા મહુડાના વૃક્ષ મહુડાના ફૂલ લાગવામાં ચાલુ થતા આદિવાસી પરિવારોમાં આનંદનો માહોલ છવાયો. મહુડાના ફૂલ આખા વર્ષની રોજી આપે છે. હાલ મહુડાના વૃક્ષો ઉપરથી મહુડાના ફૂલ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. મહુડાના ફૂલનો ભાવ ગઈ સાલ એક ક્વિન્ટલના 5200થી 5400 રૂા.ભાવ હતો. હાલમાં નવો ભાવ બજારમાં નક્કી નહીં થતા પરિવારો મહુડાને ઘરમાં સંગ્રહ કરી રહ્યા છે. મહુડાના વૃક્ષને આદિવાસીઓનો કમાઉ દીકરો તરીકે ઓળખવામાં આવે છે. આ મહુડાના ફૂલ ઔષધીઓ, દેશી દવામાં તેમજ દારૂમાં પણ વપરાય છે. અહીના આદિવાસીઓ મહુડાની ડોળીને પીલીને તેલ બનાવે છે. જે આખું વર્ષ ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તેમજ આ તેલ માલિશ કરવામાં, સાબુ તેમજ શેમ્પુ બનાવવામાં ઉપયોગ થાય છે.
ખાડારાજને લીધે લોકો પરેશાન:મુવાલીયા ક્રોસિંગથી હાઈવેનો માર્ગ બિસમાર થતાં ચાલકોના માથે જોખમ
દાહોદના ગોધરા રોડ પર આવેલા મુવાલીયા ક્રોસિંગથી હાઈવે સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય મહિનાઓથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મહત્વના માર્ગની જર્જરિત હાલતને કારણે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. ગોધરા રોડ પર મુવાલીયા ક્રોસિંગથી હાઈવે સુધીનો આ રસ્તો લાંબા સમયથી મરામતની રાહ જોઈ રહ્યો છે. રસ્તા પર અનેક સ્થળોએ એટલા ઊંડા ખાડા પડી ગયા છે કે વાહનચાલકોએ અત્યંત સાવધાનીપૂર્વક અને ધીમી ગતિએ પસાર થવું પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માત થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. નોંધનિય છે કે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. આ રસ્તો સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે કડીરૂપ છે. વધુમાં, આ જ માર્ગ પર આણંદ કૃષિ યુનિ. ફાર્મ આવેલું હોવાથી અહીં શૈક્ષણિક અને ખેતીવાડીના કામકાજ અર્થે રોજિંદી અવરજવર રહે છે. આમ છતાં, રસ્તાની આ દયનીય સ્થિતિ પ્રત્યે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, રસ્તા પરના ખાડાઓને કારણે વાહનોના ટાયર, સસ્પેન્શન અને અન્ય ભાગોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જેના કારણે લોકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ રસ્તા બાજુ ધ્યાન દોરવામાં આવતુ નથી અને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલમાં લોકોમાં ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે અને જનતા દ્વારા આ માર્ગનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ઘટક 1, 2, 3માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આશરે 100 જેટલા આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે બે દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીમાં આવતા બાળકો અને માતાઓને વધુ પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન પૂરું પાડવાનો છે. આ સમગ્ર કાર્યક્રમ સીડીપીઓના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક 1માં પારગી રોશનીબેન, ઘટક 2માં મોરી વિભૂતિબેન અને ઘટક 3 માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોષણયુક્ત અને સ્વચ્છ ભોજન બનાવવાની પ્રાયોગિક માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમમાં મુખ્યત્વે 3 થી 6 વર્ષના બાળકો તેમજ પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સોમવાર થી શનિવાર સુધીના નિયત મેનુ મુજબ વાનગીઓ બનાવવાની રીત સમજાવાઇ હતી. જેમાં સવારના ગરમ નાસ્તા માટે સુખડી, શીરો, પુલાવ અને મુઠીયા જેવી પૌષ્ટિક વાનગીઓ તેમજ બપોરના ગરમ ભોજન માટે દાળ-ભાત, મગના થેપલા, ચણા પરાઠા અને શાક જેવી વિવિધ વાનગીઓ તૈયાર કરવાની પ્રાયોગિક સમજ આપી હતી.
મંડે પોઝિટીવ:મહુડો માત્ર વૃક્ષ નથી પણ સંસ્કૃતિ ને અર્થતંત્રનો અભિન્ન હિસ્સો છે
દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના પહાડી અને જંગલ વિસ્તારોમાં કુદરતની અનમોલ ભેટ ગણાતા મહુડાના વૃક્ષો અત્યારે સોના જેવી આવક વરસાવી રહ્યા છે. વસંતની વિદાય અને ઉનાળાના પગરવ સાથે જ આ પંથકમાં મહુડાના ફૂલ પડવાની શરૂઆત થઈ ગઈ છે, જેની સાથે જ ગ્રામીણ જનજીવનમાં એક નવો ઉત્સાહ અને આર્થિક તેજીનો સંચાર થયો છે. અત્યારે વહેલી સવારના ચાર વાગ્યાથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઇ તેમના હાથમાં ટોપલા અને પોટલાં લઈને સીમ-વગડા તરફ દોડી જાય છે. આખાય પરિવારો મહુડાના ફૂલ વીણવાની કામગીરીમાં મગ્ન જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના લોકો માટે મહુડો એ માત્ર વનસ્પતિ નથી પરંતુ ગરીબ પરિવારોની આર્થિક જરૂરિયાતો પૂરી કરતું સાચું ''કલ્પવૃક્ષ'' છે. સીઝન દરમિયાન એકઠા કરેલા આ ફૂલ ગામડાના અર્થતંત્રને મજબૂત બનાવે છે. ખાસ કરીને ઉનાળામાં આવતા લગ્ન પ્રસંગો, ચાંદલા વિધિ કે અન્ય મોટા સામાજિક ખર્ચાઓને પહોંચી વળવા માટે મહુડાના ફૂલનું વેચાણ એ સ્થાનિકો માટે સૌથી મોટો આશીર્વાદ સાબિત થઇ રહ્યો છે. આમ, દેવગઢબારીયા અને ધાનપુર પંથકમાં મહુડાની આ સીઝન સ્થાનિકોના ચહેરા પર સ્મિત અને ખિસ્સામાં રોકડ લાવીને સકારાત્મક વાતાવરણ ઊભું કરી રહી છે. સમૃદ્ધિનું માપદંડ હતું આ વૃક્ષ20મી સદીમાં જે પરિવાર પાસે વધુ મહુડાના વૃક્ષો હોય તે સૌથી વધુ સુખી અને સમૃદ્ધ ગણાતો હતો. નવાઈની વાત એ છે કે લગ્ન નક્કી કરતી વખતે વર પક્ષ પાસે કેટલા મહુડાના ઝાડ છે તેની ગણતરી કરાતી હતી. જેથી કન્યા સુખી રહેશે તેવો વિશ્વાસ રખાતો હતો. આજે પણ લગ્ન પ્રસંગ કે સામાજિક ખર્ચાઓ માટે મહુડાનું વેચાણ એ પૂરક આવકનો મોટો સ્ત્રોત છે. મહુડાની ફૂલથી ફળ સુધીની સફરમહુડાના ફૂલને શેકીને પણ ખાઈ શકાય છે.જે પરંપરાગત ખોરાકનો ભાગ રહ્યોછે.ફૂલની સીઝન પૂર્ણ થયાના આશરે દોઢ મહિના પછી વૃક્ષ પર ફળ બેસે છે.જેને સ્થાનિકો ‘ડોળી’ તરીકે ઓળખે છે. ડોળીને સૂકવ્યા બાદ ઘાણીમાં પીલીનેતેમાંથી તેલ કાઢે છે. પ્રાચીન સમયમાં લોકો આ તેલનો જ રસોઈમાં ઉપયોગકરતા હતા અને આખું વર્ષ ખાદ્યતેલ માટે આત્મનિર્ભર રહેતા હતા.
મુસાફરોની સુખાકારી અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગ હેઠળના ડેપોને નવીનતમ બસોની ભેટ મળી છે. ભરૂચ વિભાગ દ્વારા સંચાલિત વાગરા-અમદાવાદ અને દહેજ-અમદાવાદ રૂટ માટે ફાળવવામાં આવેલી અત્યાધુનિક બસોનો ઉદઘાટન સમારંભ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ લોકાર્પણ વિધિમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા માજી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે ભરૂચ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક શ્રી સંજય જોષી, સ્થાનિક આગેવાનો, એસટી કર્મચારીગણ તેમજ મુસાફર જનતા પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને મુસાફર સુવિધામાં થઈ રહેલા વધારા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. વાગરા અને દહેજ જેવા મહત્વના ઔદ્યોગિક હબથી સીધા રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ સુધીની આ નવીન બસ સેવા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા કર્મચારીઓ અને સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ફરાર આરોપી પકડાયો:ભરૂચ સી ડિવિઝન પોલીસે 15 વર્ષથી ફરાર આરોપીને તાપીમાંથી ઝડપ્યો
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને તાપી જિલ્લાના કુકરમુંડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ટીમ રચાઈ હતી. તપાસ દરમિયાન શાકીર યાસીન ઉર્ફે શરીફ ઉર્ફે સફીક ઇસ્માઈલ રહે. કુકરમુંડા, તાપી છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ નામથી ફરાર હોવાની માહિતી મળી હતી. વર્ષ 2011માં ઝાડેશ્વર ચોકડી પાસે પ્રોહીબિશન વોચ દરમિયાન ડુપ્લીકેટ નંબર પ્લેટવાળા આયસર ટેમ્પામાંથી આશરે રૂ. 9.60 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુ તપાસમાં વાહનનો નંબર ખોટો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં અગાઉ બે આરોપીઓને ઝડપી લેવાયા હતા, જ્યારે મુખ્ય આરોપી ફરાર રહ્યો હતો. તાજેતરમાં બાતમીના આધારે પરિવારના સોશિયલ ડેટા એનાલિસિસ થી આરોપીની લોકેશન મળી આવતા પોલીસે ચાર દિવસની વોચ બાદ તેને ઝડપી પાડ્યો હતો.
બાર કાઉન્સીલની ચુંટણીનું પરિણામ:ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના વંદના ભટ્ટ વિજેતા
ગુજરાત બાર કાઉન્સિલની તાજેતર માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં તેઓ અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીમાટે ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયારે પરિણામ આવ્યા ત્યારે નર્મદા જિલ્લાના બાર એસોસિયેશન પ્રમુખ વંદના ભટ્ટ ને 2,03,002 જેટલા મતો મળ્યા વિજેતા બન્યા અને આ પ્રક્રિયામાં અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા રાજ્યના વકીલોમાં પ્રતિષ્ઠિત ચૂંટણીમાં જનરલ બેઠક પર વંદનાબેન આઈ. ભટ્ટની ભવ્ય જીત બદલ બાર એસોસિયેશન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા 25 વર્ષ બાદ ભરૂચ–નર્મદા જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ વકીલ ગુજરાત બાર કાઈન્સીલ ની ચૂંટણી જીતી રાજ્યની ટીમમાં પહોંચ્યા છે. કેમ કે જિલ્લાના નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીનો આ અનોખો અને પ્રથમ વિજય છે.વંદનાબેન આઈ. ભટ્ટ છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
21મી માર્ચે સમગ્ર દેશ અને દુનિયામાં વિશ્વ વન દિવસની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ વિશ્વ વન દિવસ ઉજવાયો હતો. જેમાં સાંસદ જશુભાઇ રાઠવાએ વન કર્મીઓ સાથે રવિવારે વહેલી સવારે જંગલમાં ટ્રેકિંગ કરીને જંગલ અને પર્યાવરણ બચાવવા પ્રજાને અપીલ કરી હતી. તેમણે વન ખાતાના અધિકારી અને વનકર્મીઓ સાથે જંગલમાં ટ્રેકિંગ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તા.21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી પ્રસંગે રવિવારે છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવાએ જયસિંહ રાઠવા સંગ્રામસિંહ, રાઠવા પાર્થભાઇ સાથે છોટાઉદેપુર વન વિભાગના ડોલરિયા રેન્જના જાંમલી ડેમ ખાતે વહેલી સવારે જંગલમાં ટ્રેકિંગ કરી, વન અને પર્યાવરણ સાથે વન્યજીવ અને પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થવા માટે આહવાન કર્યું હતું. સાથે જ વન વિભાગના કર્મચારી અધિકારી તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર વિસ્તારમાં વિશાળ જંગલ આવેલું છે. આ જંગલોમાં ઘણી ઔષધિઓ ઊગી નીકળે છે. જે માનવ જીવન માટે દવા સ્વરૂપે વપરાય છે. આ જંગલોની જાળવણી કરવી દરેક વ્યક્તિની ફરજ હોય છે.
ટ્રાન્સપોર્ટરોએ દેખાવો કર્યા:ભરૂચના મુલદ ટોલપ્લાઝા પર સ્થાનિકટ્રકો પાસે ટોલ વસૂલવાને લઇ આંદોલન
ભરૂચના મુલદ ટોલપ્લાઝા પરથી સ્થાનિક ટ્રક ચાલકો પાસેથી રોજના રૂા.50નો ટોલ લેવાનું ફરમાન બહાર પાડવામાં આવતાં રવિવારના રોજ ટ્રાન્સપોર્ટરોએ ટોલપ્લાઝા ખાતે પહોંચીને દેખાવો કર્યા હતાં. ટોલનાકાની એજન્સી બદલાયા બાદથી સ્થાનિક ટ્રકોને પણ ટોલમાંથી મુકિત નહિ આપવાનો નિર્ણય લેવાતાં ફરીથી વિવાદના એંધાણ વર્તાઇ રહયાં છે. હાલ તો ટ્રાન્સપોર્ટરોએ સાંસદ દીલ્હીમાં હોવાથી તેમને રજૂઆત કરવાની હોવાથી બે દિવસની મહેતલ માંગી છે. ટ્રાન્સપોર્ટરોની માગણીને ગ્રાહ્ય રાખી એજન્સીએ બે દિવસ સુધી સ્થાનિક ( જીજે-16 પાર્સિંગ)ની ટ્રકોને ટોલમાંથી મુકિત આપી છે. ભરૂચ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસી એશનના અગ્રણી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ટોલનાકાની 20 કિમીની ત્રિજ્યામાં આવતાં વિસ્તારોના વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવે છે. મુલદ ટોલપ્લાઝા ખાતે નવી એજન્સી આવ્યાં બાદ ટોલ લેવાની વાત કરે છે. એક ટ્રકના 3 થી 4 હજારનો ટોલ પોસાઇ તેમ નથી. આ મામલે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવાના છીએ. દોઢ વર્ષમાં ફરી સ્થાનિક વાહનો પાસેથી ટોલનો વિવાદ સામે આવ્યો ભરૂચના મુલદ ટોલપ્લાઝા ખાતેથી 4 થી 5 હજાર જેટલી સ્થાનિક ટ્રકો પસાર થતી હોય છે. દોઢ વર્ષ પહેલાં સ્થાનિક ટ્રકોને ટોલમાંથી મુકિત આપવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. સ્થાનિક જનપ્રતિનિધિઓની રજૂઆત બાદ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી હતી પણ હવે એજન્સી બદલાઇ જતાં ફરીથી ટોલનો વિવાદ થયો છે.
નર્મદા જિલ્લામાં 20 જળ સંગ્રહ માળખાંના નિર્માણ અને પુનઃસ્થાપનનું કાર્ય કર્યું છે. જેમાં 16 તળાવોમાંથી 12 નું પુનર્જીવન કરવામાં આવ્યું છે તેમજ 4 નવા તળાવો બનાવવામાં આવ્યા છે 4 નાના બંધોમાંથી 2 નવા બંધ બનાવવામાં આવ્યા છે અને 2 બંધનું સમારકામ કરવામાં આવ્યું છે.આ કામગીરીથી ચાલુ મહિનાના અંત સુધીમાં અંદાજે 3.27 લાખથી વધુ કિલો લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી થવાની શક્યતા છે. નર્મદા જીલ્લામાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આગાખાન ગ્રામ આધાર કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે કરવામાં આવેલા પ્રયાસોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાએ કુલ 20 જળ સંગ્રહ માળખાંના નિર્માણ અને પુનઃસ્થાપનનું કાર્ય કર્યું છે. જેમાં લક્ષ્યાંકિત 16 તળાવોમાંથી 12 તળાવોનું પુનર્જીવન કરવામાં આવ્યું છે. તેમજ 4 નવા તળાવો બનાવવામાં આવ્યા છે. સાથે 4 નાના બંધોમાંથી 2 નવા બંધ બનાવવામાં આવ્યા છે અને 2 બંધનું સમારકામ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી ચાલુ મહિનાના અંત સુધીમાં અંદાજે 3.27 લાખથી વધુ કિલો લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી થવાની શક્યતા છે. ઉલેખનીય છે કે, ગયા ચોમાસા પહેલાં પૂર્ણ થયેલા 6 તળાવો અને નાના બંધોના કારણે 1.41 લાખથી વધુ કિલોલિટર પાણી સંગ્રહ થતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળ્યું હતું.આ યોજનાઓથી આશરે 400 લોકોને સીધો લાભ મળશે જ્યારે 100 થી વધુ બોરવેલ રિચાર્જ થવાથી ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થશે. સમગ્ર કામગીરીમાં ગ્રામ પંચાયતોનો સહયોગ રહ્યો છે.
દેશ અને દુનિયાની જેમ મોરબીની દરેક ક્ષેત્રોમાં સકારાત્મક કાર્યો કરતી મહિલાઓમાં રહેલી શક્તિથી દેશ, સમાજ અને કુટુંબ વ્યવસ્થાને સુખ સમૃદ્ધિથી હર્યાભર્યા કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા પ્રથમ વખત મહિલાઓને વૈચારિક મનોમંથન કરવાનું મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલા સંગઠનો નારી ઉત્થાન માટે હરહમેશ સક્રિય હોય એવા મહિલા સંગઠનો અન્ય મહિલાઓમાં નારી શક્તિને જાગૃત કરી નારી અસ્મિતાનુ ગૌરવ જાળવી રાખે અને મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રથમ વખત એક અનોખી અને પ્રેરણાદાયી પહેલરૂપે “મહિલા લીડરશીપ કોન્કલેવ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા મહિલા તજજ્ઞોએ નારી શક્તિ ધારે તો દેશ, સમાજ અને કુટુંબ માટે શુ કરી શકે તેના પ્રેરણાદાયી ઉદાહરણો આપી મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓમાં સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોનું સિંચન કર્યું હતું. સાથેસાથે કુટુંબ વ્યવસ્થાથી સમાજ અને દેશ પર પ્રભાવ પડતો હોય એટલે દરેક નારીને ખોટા ક્લેશથી દૂર રહી એકબીજા પ્રત્યે ખટાશને બદલે મધુરતા રાખીને ખાસ સમજણ કેળવવાથી ઘર સ્વર્ગ બની જતું હોવાનું જણાવ્યું હતું. “મહિલા લીડરશીપ કોન્કલેવ” થી સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નહિ બીજાના ભલામાં જ આપણું ભલું હોવાંની ભાવનાને ચરિતાર્થ કરવા સતત સક્રિય કાર્ય કરતી મહિલાઓને એક મંચ પર લાવી તેમના વિચારો, અનુભવો અને નેતૃત્વ ક્ષમતાનો પરસ્પર વિનિમય થકી સમાજમાં સકારાત્મક પરિવર્તનની દિશાનું સિંચન કરાયું હતું. જેમાં મહિલાઓના વિકાસ માટે કાર્યરત આશરે 10 જેટલી વિવિધ સંસ્થાઓની બહેનો જોડાયને એકબીજાના અનુભવોમાંથી પ્રેરણા મેળવી અને સહયોગી દિશામાં આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ તકે હેમાબેન પટેલ, અંજનાબેન ગઢીયા, હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી), વંદનાબેન સરડવા, અવની ભોરણીયા અને જલ્પાબેન ત્રિવેદી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી પોતાના વિચારો તથા અનુભવો દ્વારા બહેનોને કઈ રીતે આગળ વધવું તેની પ્રેરણા આપી હતી. મહિલા લીડરશીપ કોન્કલેવમાં મહિલાઓ જોડાઈ નેતૃત્વ અને સશક્તિકરણ અંગે વિચારવિમર્શ કર્યો.
ગામ ગામની વાત:મોરબીના લાલપરનું ઇન્સ્ટ્રિયલ ડેવલપિંગ તો થયું, પણ પર્યાવરણનું જતન વિસરાયું
મોરબીના લોહીમાં જ સાહસિકતા હોવાથી વર્ષોથી અહીંના ખાંતિલા લોકોએ પેઢી દર પેઢી આપબળે કઠોર પરિશ્રમથી ઉધોગ અને વેપાર ધંધાને એવી રીતે વિકસાવ્યા કે મોરબીનો વિકાસનો દેશ નહિ વિશ્વસ્તરે પહોંચ્યો છે. પણ ઉધોગોની વિકાસની સાથે પાછલા દરવાજે પ્રદુષણ પણ પ્રવેશી ગયું છે. જેમાં મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર મોરબીથી માત્ર સાતેક કિમિના અંતરે આવેલા લાલપર ગામ અને આસપાસ સીરામીક, ટ્રેડિંગ, ફ્રેબીકેશન, બ્રાસ પાર્ટ સહિતના નાના મોટા આશરે 200 જેટલા કારખાનાઓ રાત દિવસ ધમધમી રહ્યા છે. આ ગામની આસપાસ સૌથી વધુ કારખાનાઓ હોવાથી લાલપર ગામની 1995 પછીથી ધીરેધીરે ઇન્સ્ટ્રીયલ વિસ્તાર તરીકે ઓળખ થવા લાગી છે. જો કે ગામની જમીન પથરાઉ હોય ફળદ્રુપ ન હોવાથી ખેતીમાં ધારી ઉપજ મળતી ન હતી. એટલે ગામલોકો ઉધોગો તરફ વળ્યા, જેમાં વર્ષોથી લાલપર ગામ સીમતળ અને આસપાસના વિસ્તારમાં નળીયાના કારખાના વધુ હતા. પણ ઇમારતો વધતા અને ધીરેધીરે શહેર સિમેન્ટ કોક્રેટનું જંગલ બની જતા નળીયાની ડિમાન્ડ ઘટતા સાથેસાથે 1995થી સીરામીકનો ઉદય થતા જ લાલપર ગામની સુરત જ એકદમ બદલાઈ ગઈ અને જોતજોતામાં 80 ટકા જેવી ખેતીની જમીનને બિનખેતી કરાવી કારખાનાઓ બનાવી દેવાયા હતા. હવે આશરે દસ જેટલા લોકો ખેતી કરે છે. આશરે 5 હજાર જેટલી વસ્તીમાં મોટાભાગના લોકો ઉધોગો સાથે જોડાયેલા છે. લોકો અને ગામ તો આર્થિક રીતે સુખી સંપન્ન થયું પણ ઉધોગોના વિકાસની સાથેસાથે પ્રદુષણની આવેલી આડઅસરોથી ગામેં પર્યાવરણનું સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે. શિક્ષણ, આરોગ્ય, રોડથી લઈ CCTV સુધીની સુવિધાસરપંચ રમેશભાઈ રતનભાઈ વાંસદડીયા કહે છે કે, ગામમાં આરોગ્ય કેન્દ્ર, ધો.8 સુધીની સરકારી શાળા, ધો.10 સુધીની બે ખાનગી શાળામાં ભણતા 1 હજાર વિધાર્થીઓ, નવી સોસાયટીમાં પેવર બ્લોક અને સીસીરોડ, સીસીટીવી, પાણીના કનેક્શન, બે લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો ટાંકો, બે ટ્રેકટર, રીક્ષા સહિતના નિયમિત ડોર ટુ ડોર કચરા કલેક્શન, પીવીસીની લાઇન નાખી અને વાલ્વનું કામ ચાલુ છે. પર્યાવરણના જતન માટેસરકારની ગ્રાન્ટની અપેક્ષાસરપંચ ઉમેરે છે કે, ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીથી ગામના સ્મશાનને સુંદર ઉપવન જેવું બનાવ્યું છે. આજ રીતે ગામની શાળાનું પણ રીનોવેશન કરવામાં આવ્યું હતું. જો કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરીકે ડેવલપ થયો હોય એટલે પર્યાવરણનું સંતુલન બગડે અને જમીન ફળદ્રુપ ન હોવાથી લીલીછમ હરિયાળી પણ થઈ શકતી નથી. એટલે બહુ જ ઓછા વૃક્ષપ છે. આમ છતાં સરકાર તરફથી ખાસ ગ્રાન્ટ મળે તો એક સારો મોટો બગીચો બનાવી શકાય અને ગામની આસપાસ વૃક્ષો પણ વાવી શકાય જેથી ગામમાં પ્રદુષણ સામે પર્યાવરણનું બેલેન્સ જળવાઈ રહે એમ છે.
મોરબી વન વિભાગ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હૉલ ખાતે દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ‘સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’ વિષય પર એક મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપસ્થિત રહી મેન્ગ્રુવ (ચેર) ના જંગલોનું મહત્વ અને તેની જાળવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં મોરબી નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલે મેન્ગ્રુવને એક ''વિશિષ્ટ વનસ્પતિ'' ગણાવતા જણાવ્યું હતું કે, ચેરના જંગલો ખારાશવાળી જમીનમાં ટકી રહેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે અને તે દરિયાકાંઠા માટે ‘ગ્રીન બેલ્ટ’ સમાન છે. તેમણે ભારત સરકારના મહત્વાકાંક્ષી ''મિસ્ટી'' (MISHTI - Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes) પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઉમેર્યું કે, દરિયાના મોજા અને પૂર સામે કિનારાનું સંરક્ષણ કરવા તેમજ દરિયાને આગળ વધતો અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અત્યંત અનિવાર્ય છે. આ અવસરે વૈદ્ય કિરીટસિંહ ઝાલાએ મેન્ગ્રુવના આયુર્વેદિક અને ઔષધિય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ગીર ફાઉન્ડેશનના ભાવેશભાઈ ત્રિવેદીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા યાયાવર પક્ષીઓ અને જૈવ-વિવિધતા સામેના પડકારો વિશે વાત કરી હતી, જ્યારે પ્રોફેસર ડો. કેતન મેવાડાએ મેન્ગ્રુવની વિવિધ જાતિઓ અને સરકારી યોજનાઓની ટેકનિકલ જાણકારી આપી હતી. આ નિષ્ણાતોએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી ઉપસ્થિતોને આકર્ષક શૈલીમાં મેન્ગ્રુવ સંરક્ષણ અને પર્યાવરણના જતન વિશે માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વન સંરક્ષક પ્રતિક નરોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વર્કશોપના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રકૃતિના સંવર્ધન માટે ‘આપણે પ્રકૃતિને શું આપી શકીએ’ તે દિશામાં લક્ષ્ય સાથે કાર્ય કરવા મક્કમ નિર્ધાર કર્યો હતો. આ વર્કશોપ માટે ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી સહિતના વનકર્મીઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત વન સંરક્ષક વી.ટી. કોરવાડિયા, રાજકોટ મદદનીશ વન સંરક્ષક નરેન્દ્ર ગઢવી સહિતના વન વિભાગના અધિકારીઓ, દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં વસતા ગ્રામજનો, પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મોરબીના આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે મોરબી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબીના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિશેષ પ્રદર્શનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ જણાવ્યું હતું કે, મિલેટ્સ એ માત્ર ખોરાક નથી પણ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના પુનઃ જાગરણનો આ ઉત્સવ છે. જીવનમાં સ્વસ્થ રહેવા સાત્વિક આહાર અનિવાર્ય છે. જેમ આપણો ‘ફેમિલી ડોક્ટર’ હોય છે, તેમ શુદ્ધ અને રસાયણમુક્ત આહાર માટે દરેક નાગરિકે એક ‘ફેમિલી ફાર્મર’ રાખવો જોઈએ, જે આપણને સીધો ખેતરેથી શુદ્ધ ખેત ઉત્પાદનો પૂરો પાડી શકે. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાએ કર્યું હતું. આભારવિધિ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીયાએ કરી હતી. મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ માર્કેટમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ સ્થિતિ મિલેટ્સમાંથી સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરાયા છે. મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના નગરજનોને આ બે દિવસીય મેળાની મુલાકાત લઈ ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અનુરોધ કરાયો છે.
રોગચાળો અટકાવવા તંત્ર સજ્જ:મોરબી શહેરમાં મચ્છરજન્ય રોગચાળોઅટકાવવા મહાપાલિકાની સઘન ઝુંબેશ
મોરબી શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તેવા હેતુથી મોરબી મહાપાલિકાની મેલેરીયા શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મેલેરીયા શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેમાં અનંતનગર, શક્તિનગર, ગાંધી સોસાયટી, ઘાંચી શેરી, અંબિકા રોડ, રાધા પાર્ક અને વાઘપરા જેવા વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન પાણી ભરેલા પાત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરોના પોરા ઉત્પન્ન થતા અટકાવવા માટે એબેટ કામગીરી કરવામાં આવી. એવન્યુ પાર્ક, દાઉદીપ્લોટ અને કબીરટેકરી પાસેના વોકળાઓમાં મચ્છરના ઉપદ્રવને રોકવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ સરળ પગલાં અપનાવો
પ્રજાના પૈસાનો ધુમાડો:મોરબીમાં દિવસે લાઈટના ઝળહળાથી પ્રજા પર રૂપિયા 16.33 કરોડનો બોજો
કોના બાપની દિવાળી ? ની જેમ સીરામીક સીટી મોરબીમાં નગરપાલિકાના વખતથી પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તંત્ર જ લોકોને વીજ બચત કરવાની સુફોયાણી સલાહ આપે છે. દિવા તળે અંધારાની જેમ ખુદ તંત્ર જ વીજ બચત કરવાનું ભુલ્યું છે. પહેલા નગરપાલિકા અને હવે મહાપાલિકાની બેદરકારીને કારણે પ્રજા માથે કરોડોનો વીજ બીલનો બોજો આવ્યો છે. આશરે દોઢ દાયકા અગાઉ પહેલા જ નગરપાલિકાની શહેરમાં શેરી, ગલી, વિસ્તારમાં મોટી સ્ટ્રીટ લાઈટ હતી. તેનાથી વધુ વીજ ખાદ્ય થતી હતી. આથી આ મરક્યુરી લાઈટ કરતા એલઇડી લાઈટો ઓછી વીજળી ખાતી હોવાથી વીજ બચત માટે આખા શહેરમાં તમામ જાહેર વિજપોલમાં નવી કરોડોના ખર્ચે સ્ટ્રીટ લાઈટોને કાઢી એલઇડી લાઈટો નાખવામાં આવી હતી. પણ જે તે વખતે તંત્ર લાઈટ ચાલુ બંધ કરવાની સિસ્ટમ એટલે ટાઇમર સેટ કરવાનું ભૂલી ગયું હતું. પરિણામે મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક આ એલઇડી લાઈટો ચાલુ રહે છે. ધોળા દહાડે વર્ષોથી લાઈટના ઝળહળા થતા હોવા છતાં તંત્રના આખે જાણે મોતિયો આવી ગયો હોય એમ આ લાઈટો દિવસે બંધ કરવાની નગરપાલિકા બાદ હવે મનપાએ પણ જરાય તસ્દી લીધી નથી. 24 કલાક લાઈટો ચાલુ રહેતા વીજળીનો અપવ્યય થતા હમણાં જ પીજીવીસીએલે મનપાને વર્ષોનું બાકી રૂ.16.33 કરોડની માતબર રકમનું વીજ બિલ ફટકાર્યું હતું. વીજ જોડાણ કટ થાય એ પહેલાં જ મનપાએ આ નગરપાલિકા વખતનું બાકી કરોડોનું વિજબીલ ભરી દીધું હતું. આ વીજ બિલ ભરીને તંત્રએ મોટું મીર માર્યું એવું દેખાવડાનો હીન પ્રયાસ કર્યો છે. હકીકતમાં હજુ પણ પ્રજાના પૈસાનો ધુમાડો નહિ રોકાઈ તો આના કરતાં પણ પ્રજા પર મોટો વીજ બીલનો બોજો આવશે. મહેન્દ્રનગરથી રવાપર સુધી અંધારપટ,સ્ટ્રીટ લાઈટોની અછતથી લોકો પરેશાનમોરબી મહાનગરપાલિકાના નવા ભળેલા વિસ્તારોમાં અંધારપટ છે. જેમાંમોરબી મહાનગરપ લિકામાં ભળેલા નવા વિસ્તારો જેવા કે મહેન્દ્રનગર,ઇન્દિરાનગર, માળિયા વનાળિયા, શનાળા, વાવડી અને રવાપરમાં સ્ટ્રીટલાઈટની ગંભીર સમસ્યા છે. અનેક વિસ્તારોમાં હજુ સુધી નવી એલઇડીલાઈટ નાખવામાં જ આવી નથી. જ્યાં લાઈટો છે ત્યાં મોટાભાગની બંધહાલતમાં છે. અંધારાને કારણે રાત્રે અકસ્માત અને સુરક્ષાનો ભય રહે છે.બહેન દિકરીઓ ને રાત્રીનાં સમય માં નિકળવા પર ડર લાગે છે. તેમશહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જ્યાં જરૂર ત્યાં લાઈટ નથી, ચાલુ લાઈટોના મુદ્દેઅધિકારીઓની જવાબદારી પર સવાલજાગૃત નાગરિક રાજુભાઈ દવેએ જણાવ્યું હતું કે, શહેરના મોટાભાગનાવિસ્તારોમાં દિવસે પણ વર્ષોથી લાઈટો ચાલુ રહે છે. આ ખુલ્લેઆમલોકોને દેખાતું હોવા છતાં તંત્રને ન દેખાય એ બાબત ગળે ઉતરે એવીનથી. જ્યારે શનાળા રોડ અને વાવડી રોડ પર લાઈટોની જરૂર હોય ત્યાંઆ સુવિધા નથી. ત્યારે હવે મનપા તંત્રએ જે બાકી વીજ બિલ ભર્યું છે. એપોતાના કે સરકારના ખિસ્સામાંથી ભર્યું નથી. એ પ્રજાના કરવેરામાંથીચૂકવાયું છે. એટલે પ્રજાના પૈસાનો ખોટો વ્યય ન થાય એની ખાસ તકેદારીરાખવાની મનપાના જવાબદાર અધિકારીઓની જવાબદારી છે. પણ જેરીતે વર્ષોથી દિવસે લાઈટો ચાલુ રહે છે. એ જોતાં નગરપાલિકા બાદ હવેમનપાના અધિકારીઓ પણ જવાબદારી ચુક્યા હોય એવું લાગી રહ્યું છે.
મંડે પોઝિટીવ:માળિયા મિયાણાના નાનાભેલામાં માત્ર 200ની વસ્તી સામે 1 હજારથી વધુ મોરનો ‘મીઠો કલરવ’
મોરબી શહેર રાજાશાહી વખતથી ઢેલડીનગર તરીકે જાણીતું છે. તેનું કારણ એ હતું કે મોરબી આસપાસ ગાઢ વૃક્ષોનું જંગલ હતું એમાં મોરની સૌથી વધુ વસાહત હતી. પરંતુ 1991 બાદ મોરબીનો એટલો જબરજસ્ત વિકાસ થયો કે આજે મોરબી સિમેન્ટ કોક્રેટનું જંગલ બની જતા હવે મોરની વસ્તી એટલી હદે ઘટી ગઈ છે કે, અમુક જગ્યાએ જ મોર જોવા મળે છે. ત્યારે હૃદય મનને ટાઢક મળે તેમ રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરની વધુ સંખ્યા મોરબી જિલ્લાના એક છેવાડાના ગામમાં વધુ હોવાના ઉજળા સંજોગો સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનું નાનું એવું નાનાભેલા ગામ ભલે છેવાડાનું અને અવિકસિત ગણાતું હોય પણ રાષ્ટ્રીય પક્ષી મોરની વધુ સંખ્યાને લીધે આ ગામ સુખી છે. એટલે જ આ નાનાભેલા ગામ મોરબી જિલ્લામાં જ નહીં સૌરાષ્ટ્રભરમાં જાણીતું બન્યું છે. ગ્રામજનોના કહેવા મુજબ તેમના પૂર્વજોના સમયથી તેમના ગામમાં લોકો કરતા મોરની સંખ્યા વધુ છે. ચોંકાવનારી બાબત એ છે કે આજની તારીખે પણ ગામની વસ્તી માત્ર 200ની આસપાસ જ છે. એની સામે આશરે 1 હજારથી 1200 જેટલા મોરનો વસવાટ છે. એટલું જ નહીં મોરની સાથે કાગડા, કબૂતર, પોપટ, હોલા સહિતના પક્ષીઓ પણ છે. ગામમાં આશરે 1 હાજરથી વધુ વૃક્ષો હોવાથી આ બધા પક્ષીઓનું રહેઠાણ અનુકૂળ રહે છે. તેમજ બીજા હજાર વૃક્ષો હમણાં જ વાવ્યા છે. ગામલોકોએ ત્રણ સ્થળે ચકલાઘર બનાવીને નિયમિત ચણ નાખે છે. જો કે મોર એટલું ગભરુ પક્ષી હોય છે કે માણસનો પગરવ સાંભળે કે તૂરત જ ઉડી જાય છે. પણ આ ગામમાં મોર અને ગ્રામજનો વચ્ચે એટલો આત્મીય સંબંધ બંધાય ગયો છે કે,મોર લોકોના ઘરમાં અને ફળિયામાં જઈ લોકોના હાથમાં રાખેલા અન્નના દાણા એકદમ ભયમુક્ત બનીને ચણે છે. એટલું જ નહીં આ ગામની સવાર કુકડાની બાંગથી નહિ પણ મોરના મીઠા મધુર કલરવ અને ગહેકાથી પડે છે. ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવા સહિતની સેવાપ્રવૃત્તિઓગામના સરપંચ ભાવિકભાઈ કાવર કહે છે કે, તેમનું ગામ પહેલેથી જ માનવ સેવા એજ સાચી પ્રભુસેવા સમજીને દરેક સેવાપ્રવૃતિઓમાં આગળ છે. જેમાં અગાઉ તેમન ગામના વડીલોના બજરંગ ગરબી મંડળ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. હવે આ સેવાનો દૌર ગામના તેમના સહિતના યુવાનોએ સંભાળી લીધો છે જેમાં છેલ્લા ચાર વર્ષથી પ્રસંગે ઢોલ ત્રાસા વગાડી તેમાંથી થતી આવકથી નિયમિત શ્વાન સહિતના પશુઓ માટે લાડુ બનાવીને ખવડાવે છે અને દરરોજ ત્રણ સ્થળે પક્ષીઓને ચણ નાખે છે. આ ઉપરાંત ગૌશાળાને દાન, મનો દિવ્યાંગ સંસ્થાને દાન તેમજ ગામના કોઈ ગરીબ વિદ્યાર્થીઓ હોય તો તેની સ્કૂલ ફી પણ ભરવામાં આવે છે અને ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકી છે.
PGVCL એક્શન મોડમાં:બોટાદ PGVCL 24 માર્ચના મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ કરશે
પીજીવીસીએલ બોટાદ વર્તુળ કચેરી હેઠળની કચેરીઓ બોટાદ શહેર-1 અને 2, બોટાદ ગ્રામ્ય, પાળીયાદ, બરવાળા, રાણપુર, ગઢડા શહેર, ગઢડા ગ્રામ્ય, ઢસા સહિતની ધોળા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગ્રાહકોએ વીજ બીલના બાકી નાણા સંબધિત વિસ્તારની વીજ કચેરી, કલેક્શન સેન્ટર અથવા તો ઓનલાઈન માધ્યમથી તાત્કાલિક ભરપાઈ કરી જવા વધુમાં પીજીવીસીએલ બોટાદ વર્તુળ કચેરી હેઠળની વિવિધ કચેરીઓ માહે ફેબ્રુઆરી-26ના અંતે હજુ પણ રૂ.1613.77 લાખ જેટલી માતબર રકમ બાકી છે. ચાલુ માસે પણ 24 માર્ચના પીજીવીસીએલ દ્વારા મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. જો વીજ ગ્રાહકોએ વીજ બીલની રકમ બાકી હશે તો, આ દિવસે પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ગ્રાહકોનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. ત્યારબાદ વીજ ગ્રાહકોએ બાકી વીજ બીલની 100 % રકમ રી-કનેક્શન ચાર્જ સાથે તેઓની સબંધિત કચેરી ખાતે ભરપાઈ થયા બાદ જ નિયત સમયમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. આમ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાય રહે તે માટે બાકી વીજ બીલ ભરપાઈ કરવા બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બોટાદ PGVCL 24 માર્ચના મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ કરશે તેમ સુત્રો જણાવે છે.
UGVCLની કાર્યવાહી:UGVCLની 364 ટીમે 127 વીજકનેકશન કટ કર્યા 2 દિવસમાં રૂ.156.84 લાખની વસૂલાત કરાઈ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ તા.21 અને 22-3-2026ને શનિ –રવિ એમ કુલ બે દિવસમાં કુલ 364 ટીમો દ્વારા ડીસ કનેક્શન તેમજ વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વીજ બિલ ન ભરનારા કુલ 127 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. જેમની કુલ બાકી રકમ રૂ. 5.94 લાખ જેટલી થવા જાય છે. તેમજ જાગૃત ગ્રાહકોના સહકારથી કુલ 5274 ગ્રાહકો પાસેથી રૂ.156.84 લાખની વસૂલાત કરવામાં આવી છે. જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નંખાશે.
ગુજરાતનું ગૌરવરૂપ સુંદર હરિયાળુ મુક્તિધામ (સ્મશાન) જે બોટાદના અઢારેય આલમ અને વિવિધ સંસ્થાના સહયોગથી નવનિર્માણ કાર્યના સ્વપ્નદ્રષ્ટા સી.એલ.ભીકડીયાના ભગીરથ પ્રયત્નથી સુપરે પૂર્ણ થયેલ છે. બોટાદમાં 18, અક્ષરપાર્ક ખાતે રહેતા અને એમ.એસ.સી. (કેમેસ્ટ્રી),ડીપ્લોમા ઈન જર્નાલીઝમ સી.એફ.એન. (ઓપન યુનિ.) સુધીનો અભ્યાસ ધરાવતા અને નિવૃત્ત, ફુડ સેફટી ઓફિસર ચંદુલાલ લાલજીભાઈ ભીકડીયા (સી.એલ.ભીકડીયા) મુક્તીધામ પરિસરમાં શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન, રાશિ વન તથા સુંદર હરિયાળો બગીચો બનાવી ખરેખર સ્મશાન ભૂમિને શાંતિનું ધામ બનાવેલ છે. છેલ્લા 18 વર્ષથી મુક્તિધામ પરિસરમાં શ્વાન માટે રોટલા તથા દર રવિવારે શ્વાન માટે લાડુ બનાવી વન વગડા સીમાડાના શ્વાનને નાખવામાં આવે છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા જે જન સેવા અને અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. જેમાં તેઓ સક્રીય ભૂમિકા ભજવી રહયા છે. તેઓ શહેર જીલ્લામાં વૃક્ષારોપણ અને પર્યાવરણનું ઉત્તમ કાર્ય કરતા ગ્રીન મેનનું બિરુદ અને બોટાદ જીલ્લા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ રાજ્યપાલ આનંદીબહેન પટેલના વરદ હસ્તે ગુજરાત ગ્લોબલ બ્રિગેડ સંસ્થા દ્વારા પ્રાપ્ત કરેલ. વનવિભાગ બોટાદના સહયોગથી શહેર અને જિલ્લામાં આશરે એક લાખ જેટલા રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. તેઓને વૃક્ષા રોપણ અને પર્યાવરણ જનજાગૃતિની ઉત્તમ કામગીરી સબબ ગ્રીન મેનનું બિરૂદ સાથે કચ્છ માંડવી ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિશિષ્ટ કામગીરી મુક્તિધામ સંકુલમાં આશરે 100 ઉપરાંત દિવ્ય ઔષધીય વૃક્ષ, વેલ, છોડ ઉછેર કરેલ છે, જેમાં લુપ્ત થતી દિવ્ય ઔષધીય વનસ્પતિઓ જેમાં ઉંમરો, બંગાળી બાવળ,કરંજ, વડ, વગેરે ઔષધીય વૃક્ષ, છોડ તથા વેલ વગેરેનો વનમાં ઉછેર કરેલ છે. રાશીવનમાં રાશી પ્રમાણે વાંસ, ખાખરો, બીલી, અર્જુન, સીમળો, સમી, આંબળો, સાલ, પીપળો, સફેદ આંકડો, કદંબ વગેરે વૃક્ષનું રોપણ કરી ઉછેર કરેલ છે. મુક્તિ ધામ સંકુલમાં આશરે 1200 ઉપરાંત વૃક્ષ, ફૂલછોડ, છોડ દ્વારા હરિયાળા બગીચાનું નિર્માણ કરેલ છે. અગ્નિ સંસ્કાર માટે ગેસ તથા આધુનિક ભઠ્ઠીનું નિર્માણ કરેલ છે. તેઓએ જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદનાં સ્થાપક ઉપ પ્રમુખ અને રાજ્ય કક્ષાએ વિવિધ અન્ય હોદ્દા પર પદાધિકારી તરીકે સેવા બજાવેલ છે. વર્ષ 2022-23ના વર્ષ માટે જાયન્ટસ ફેડરેશન ઓફીસર (પર્યાવરણ) તરીકે નિમણુંક કરવામાં આવેલ.
બોટાદ શહેરમાં અંધશ્રદ્ધા અને વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગલપર ગામના એક શખ્સે પોતાના રત્નકલાકાર મિત્રને ભુવાની મદદથી મેલીવિદ્યાના ડરમાં ફસાવી, અલગ-અલગ સમયે સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹16,28,400ની છેતરપિંડી આચરી છે. આ મામલે રત્નકલાકારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે, બોટાદના મોચીપરા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર સોમાભાઈ નાકીયાને નાગલપરના ઘનશ્યામભાઈ રૂપેલીયા સાથે 15 વર્ષ જૂની મિત્રતા હતી. સોમાભાઈને સપનામાં એક બાળકી આવી ધોલ મારી જતી હોવાનું જણાવતા, મિત્ર ઘનશ્યામ તેને સંજય ભુવા (રહે. નાગલપર) પાસે લઈ ગયો હતો. ભુવાએ સોમાભાઈના ઘરે પાઠ માંડી, મેલીવિદ્યાના તૂત ઉભા કરી આખા પરિવારને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ઓક્ટોબર 2023માં ઘનશ્યામભાઈએ મજબૂરી બતાવી સોમાભાઈ પાસેથી સોનાની હાંસડી, લોકીટ અને ચેઈન મળી લાખોના દાગીના પડાવ્યા હતા. માર્ચ 2024માં મકાન લોન કરાવી આપવાના બહાને અને અગાઉના દેવા ચૂકવવાના નામે કુલ ₹8 લાખ રોકડા પડાવી લીધા હતા. ઘનશ્યામ અને તેના પુત્ર અલ્પેશે વધુ 5.75 તોલા સોનું લઈ જઈ ફેડરલ બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી લીધી હતી. થોડા સમય બાદ મેલીવિદ્યાની અસર ઓછી થતા સોમાભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. દાગીના અને રોકડની ઉઘરાણી કરતા આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા હતા. આખરે, સોમાભાઈએ ઘનશ્યામ રૂપેલીયા, સંજય ભુવા અને અલ્પેશ રૂપેલીયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છેતરપિંડીનો ઘટના ક્રમ મિત્રને દુ:ખની વાત કરતાં ફાયદો ઉઠાવ્યો“મને રાત્રે આઠ વર્ષની એક છોકરી સપના આવી બે ધોલ મારી ગયેલ, જે છોકરી કોણ છે અને કેમ ધોલ મારી ગયેલ અને મને કંઇક નડતર જેવું લાગે છે, તે જોવડાવવાનું છે. જેથી આરોપી ઘનશ્યામભાઈ, ભુવાજી સંજયભાઈ બાબુભાઈ ચૌહાણના ઘરે લઈ ગયેલ અને કહેલ કે, સંજયભાઈ સારા ભુવા છે, તમારી બધી તકલીફ દુર કરી નાખશે. આમ ફરિયાદી પતિ-પત્નિનો ફાયદો ઉઠાવ્યો હતો.
આહિરપટ્ટીમાં વરસાદનો કહેર:ઘઉં, જીરું અને કેસર કેરીને નુકસાન પહોંચ્યું
કચ્છ જિલ્લામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. ખાસ કરીને ભુજ તાલુકાના આહિરપટ્ટી ગણાતા પંથકમાં ગાજવીજ સાથે પડેલા માવઠાએ તૈયાર થયેલા મોલ પર પાણી ફેરવી દીધું છે. ભુજ તાલુકાના કુકમા, પધ્ધર સહિત વિસ્તારમાં માવઠું વરસ્યું હતું. રવી પાકની કાપણી સમયે જ કુદરતી આફત વરસતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આહિરપટ્ટીના ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા વરસાદને કારણે ખેતરોમાં પડેલો ઘઉં અને જીરુંનો પાક પલળી ગયો છે. જીરું જેવો સંવેદનશીલ પાક, જે અત્યારે તૈયાર અવસ્થામાં હતો, તેમાં કાળી મસી અને સડાની ભીતિ સેવાઈ રહી છે. કિસાન સંઘના અગ્રણી રવજીભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, પાકને મોટું નુકસાન થયું છે તો શાકભાજીમાં ફૂગ થઈ જશે. ફળોના રાજા ‘કેરી’ને ફટકોમાત્ર અનાજ જ નહીં, પરંતુ આ વિસ્તારની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓમાં પણ ભારે નુકસાનના અહેવાલ છે. આ સમયે આંબા પર આવેલા મોર (ફૂલ) અને કેરીઓ અચાનક પવન અને વરસાદને કારણે ખરી પડી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મતે, આ માવઠાને કારણે કેરીના ઉત્પાદનમાં આ વર્ષે મોટો ઘટાડો થઈ શકે છે. અચાનક આવેલી આ આફતને કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે.
વોર ઇફેક્ટ:મે મહિનાના વેકેશન માટે પ્રવાસીઓ ‘વેઇટ એન્ડ વોચ’ મોડમાં
ઉનાળુ વેકેશન નજીક આવતાં સામાન્ય રીતે પરિવાર સાથે પ્રવાસની તૈયારીઓ તેજ બનતી હોય છે, પરંતુ આ વર્ષે વૈશ્વિક પરિસ્થિતિને કારણે પ્રવાસીઓમાં અનિશ્ચિતતા છવાઈ છે. તારીખ 1 મે થી શરૂ થનારા આશરે 40 દિવસના ઉનાળુ વેકેશન દરમિયાન ફરવા જવાના પ્લાન બનાવતા લોકો હાલ ‘વેઇટ એન્ડ વોચ’ની સ્થિતિમાં જોવા મળે છે. વિશ્વભરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિના કારણે પ્રવાસ ઉદ્યોગ પર સીધી અસર જોવા મળી રહી છે. ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને વિદેશ પ્રવાસ માટેની ઇન્કવાયરી લગભગ બંધ થઈ ગઈ છે. અગાઉ ઉનાળામાં કચ્છ સહિત ગુજરાતના લોકો કુલ્લુ-મનાલી, સિમલા, કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા ઉત્તર તેમજ પૂર્વોતર ભારતના પ્રવાસ સ્થળોએ જવાનું પસંદ કરતા હતા, પરંતુ આ વર્ષે આ સ્થળો માટે પણ પૂછપરછ નોંધપાત્ર રીતે ઘટી છે. વિમાન ભાડામાં થયેલા વધારાએ પણ પ્રવાસીઓને અટકાવ્યા છે. અમદાવાદથી બેંગકોક માટે જે ભાડું અગાઉ રૂ. 25,000 જેટલું હતું તે હવે વધીને રૂ. 50,000 થી વધુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં મધ્યમ વર્ગ માટે વિદેશ પ્રવાસ ખર્ચાળ બની ગયો છે. સાથે જ ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી લોકો નિર્ણય લેતા અચકાશે છે. બીહોટેલ અને રિસોર્ટ ઉદ્યોગ પણ આ પરિસ્થિતિથી પ્રભાવિત થયો છે. રાજકોટના એક હોટેલિયરના જણાવ્યા મુજબ ગેસની અછતને કારણે મેનુમાં કાપ મૂકવો પડી રહ્યો છે. હેવી બ્રેકફાસ્ટની જગ્યાએ હવે બ્રેડ-બટર જેવી સરળ વસ્તુઓ આપવામાં આવી રહી છે. અમદાવાદ નજીકના રિસોર્ટ માલિકો પણ માને છે કે બુકિંગ ખૂબ ઓછી છે અને તેઓ મેનુ મુજબની સર્વિસ આપી શકશે કે નહીં તે અંગે નિશ્ચિત નથી. કચ્છમાંથી રેલવે અને વિમાન બુકિંગ પર પણ અસર પડી છે. જો વૈશ્વિક પરિસ્થિતિ સુધરે તો અચાનક પ્રવાસની માંગમાં વધારો થઈ શકે છે, પરંતુ હાલ પ્રવાસીઓ સાવચેતીપૂર્વક રાહ જોવાના મૂડમાં છે.
ભજનની દુનિયામાં છવાયો શોક:‘કચ્છ તે વઠા મીં’ ફેમ ખ્યાતનામ ભજનિક પ્રવીણભાઈ સૂરદાસે લીધા અંતિમ શ્વાસ
કચ્છની ભજનિક દુનિયાના જાણીતા સૂર સમ્રાટ પ્રવીણભાઈ નારાણભાઈ ગોરનું (સૂરદાસ) કેન્સરની બીમારીથી અવાસન થતા ચ્છ સહીત રાજ્યમાં ભજનની દુનિયામાં શોકનો માહોલ છવાયો છે. મૂળ અંજાર તાલુકાના ટપ્પર ગામના વતની અને હાલ ભુજ સ્થિત પ્રવીણભાઈએ માત્ર 13 વર્ષની નાની વયથી ભજનો ગાવાની શરૂઆત કરી હતી. તેઓ માત્ર અદભૂત ગાયક જ નહીં, પરંતુ કુશળ તબલા વાદક પણ હતા. છેલ્લા એક વર્ષથી કેન્સરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા આ કલાકારના નિધનથી સૂરના તાર અચાનક તૂટી ગયા છે અને ભજન જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. તેમનું ગાયેલું ગીત “કચ્છ તે વઠા મી” સમગ્ર કચ્છથી લઈને દેશ-વિદેશમાં વસતા કચ્છીઓમાં સદાબહાર રહ્યું છે. કચ્છમાં જયારે પણ વરસાદ પડે ત્યારે આ ગીત સોશિયલ મીડિયામાં છવાયેલું રહે છે અને તેમને આ ગીત સહિતના અનેક ભજનોએ અપાર પ્રસિદ્ધિ અપાવી હતી. ભુજના ઐતિહાસિક ભૂતનાથ મંદિરમાં દર શ્રાવણ માસે તેઓ નિયમિતપણે પોતાની વાણીનો લાભ આપતા હતા. તેમના ચાહકવર્ગનો વ્યાપ માત્ર કચ્છ કે કાઠિયાવાડ પૂરતો સીમિત નહોતો, પરંતુ મુંબઈ અને છેક વિદેશ સુધી ફેલાયેલો હતો. આ અંગે જાણીતા કલાકાર શૈલેશ જાનીએ જણાવ્યું હતું કે કચ્છે એક દિગ્ગજ તબલાવાદક અને ભજનિક ગુમાવ્યો છે. તેઓએ કોઈ પણ જાતના પૈસા લીધા વિના અનેક મંડળોમાં ભજનના કાર્યક્રમ કર્યા છે. તેમને નિરંજન પંડ્યા અને કીર્તિદાન ગઢવી સહિતના કલાકરો સાથે ભજનના કાર્યક્રમો કર્યા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેમના પત્નીની પણ માત્ર 30 ટકા જ નજર છે. પ્રવીણભાઈના જવાથી કચ્છે એક મોટા ગજાના લોક કલાકાર ગુમાવ્યા છે. છેલ્લા દિવસોમાં ભૂતનાથ સંસ્થાન અને ઓસમાણ મીર સહીતના આગેવાનો અને સંસ્થાઓએ તેમને બિમારીમાંથી બહાર લાવવા મહેનત કરી રહ્યા હતાં. પ્રવીણભાઈની ઓળખ એક પરોપકારી અને ધાર્મિક વ્યક્તિ તરીકેની હતી. આધ્યાત્મિકતા અને ભજન તેમના લોહીમાં હતી, જેને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ સ્થિર રહી શકતા.
માધાપર ખાતે મોરારી બાપુની વ્યાસપીઠ પરથી માનસ મુકુરાષ્ટ્ર રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. યજમાન ધીરેશ મનજી દબાસિયા પરિવાર દ્વારા આયોજિત રામકથામાં બીજા દિવસે બાપુએ કચ્છના લોકોની ભાવભક્તિ, ખુમારી, શ્રોતાઓની વિશિષ્ટતા અને કચ્છડો બારેમાસ સહિત જ્યાં રામાયણના પાઠ ગુણગાન ગવાય છે અને ભવિષ્ય ગોતી લે એ કચ્છ છે, તેમ કચ્છના વખાણ કર્યા હતા. ગુરુની મહીમા વિશે ઊંડાણપૂર્વક જણાવતા કહ્યું કે ગુરુ પાસે કંઇ પણ ના માંગો એ જ શ્રેષ્ઠ માંગણી છે સાથે સાથે કચ્છના જેસલ જાડેજા અને સતી તોરલને યાદ કરી સતી તોરલની ભક્તિની શક્તિને વર્ણવ્યું હતું. કથાના બીજા દિવસે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉમટ્યા હતા. જેથી વિશાળ કથા મંડપ પણ ટૂંકું પડ્યું હતું. ભાવિકોથી ખીચોખીચ મંડપ ભરાઈ ગયું હતું. કથામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, નેતાગણ સહિત કચ્છ-ગુજરાતના રાજકીય આગેવાનો, અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતોની ઉતારાની ખાસ વ્યવસ્થા વેલજીભાઈ આહીર, વિનેશ રામ સાધુ, ધનજીભાઈ કેરશિયા સાંભળી રહ્યા છે. ભારે ભીડ અને વાહનોના ધસારાથી ટ્રાફિક : પોલીસ અને કાર્યકરો દ્વારા વ્યવસ્થા ગોઠવાઇમાધાપર ખાતે મોરારી બાપુની વ્યાસપીઠ પરથી ચાલતી રામકથાનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. વિશાળ કથા મંડપ અને અલગ અલગ ગાડી પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં પણ બીજા દિવસે કથા મંડપ અને પાર્કિંગ જગ્યા પણ ટૂંકી પડી હતી એટલી મોટી સંખ્યામાં વાહનો પણ જોવા મળ્યા હતા. ભોજન કક્ષ તરફ જતા ભારે ભીડ અને લોકોનું ધસારો જોવા મળ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા પોલીસ અને કાર્યકરોએ સારી આવી સેવાઓ પૂરી પાડી વ્યવસ્થા સંભાળી હતી.
મહામૂલા જળનો થયો વેડફાટ:વર્લ્ડ વોટર ડેની ઉજવણી વચ્ચે જ મુન્દ્રામાં લાખો લિટર પાણીનો વેડફાટ
રવિવારે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરાઈ હતી, ત્યારે મુન્દ્રા શહેરના વસંત હેરિટેઝ અને આશાપુરા નગર વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીનો સતત બગાડ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની લાઇનમાં આવેલા લીકેજને કારણે દરરોજ લાખો લિટર પાણી બિનજરૂરી રીતે વહે છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. એક તરફ સરકાર પાણી બચાવવાના સંદેશા આપી રહી છે અને વિવિધ અભિયાનો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મુન્દ્રાના આ વિસ્તારોમાં પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થતો હોવાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનીકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. વધુમાં, સતત પાણી વેડફાતા રહેણાંક વિસ્તારોના મેદાનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે મચ્છરજન્ય અને અન્ય રોગચાળાના ફેલાવાનો ભય પણ વધી રહ્યો છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર પાણીના બગાડ સુધી મર્યાદિત નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઉભું કરી રહી છે. સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક લીકેજ દૂર કરીને પાણીના બગાડને રોકવા અને બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવાય, તો આ મુદ્દે લોકો દ્વારા વધુ ઉગ્ર વિરોધ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
દારૂ ઝડપાયો:ભચાઉ પાસે રાપરથી વરસામેડી જતા 7.14 લાખના દારૂ સાથે બે પકડાયા
ભચાઉ પોલીસ મથકની ટીમે મળેલી બાતમીના આધારે ભવાનીપુર નાળા પાસે વોચ ગોઠવી કારમાં રાપરથી અંજારના વરસામેડી સુધી લઇ જવાતા રૂ.7.14 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપી સહિત બે જણાને પકડી વાહન સહિત કુલ રૂ.10.24 નો મુદ્દામાલ જપ્ત કરી મોકલનાર અને મગાવનાર સહિત ચાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. ભચાઉ પીઆઇ ડી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કેગત રાત્રે ટીમ પેટ્રોલિંગ દરમિયાન ભવાનીપુર નાળા પાસે પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, અંજારના ધમડકા રહેતો વિપુલસિંહ ગોવુભા જાડેજા સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગુણાતીતપુરથી ભચાઉ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે ભવાનીપુર નાળા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકાવી કારની તલાશી લેતાં તેમાંથી રૂ.7,14,000 ના મુલ્યના વિદેશી દારૂની 476 બોટલો મળી આવતા ધમડકાના વિપુલસિંહ ગોવુભા જાડેજા અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપીને પકડી લઇ કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.10,24,000 નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા વિપુલસિંહની પ્રાથમિક પુછપરછમાં રાપરના મોટી રવમાં રહેતા યશપાલસિંહ બળવંતસિંહ જાડેજાએ આ દારૂ ભરાવી દીધો હતો અને આ જથ્થો વરસામેડીના રાજદિપસિંહ ભરતસિંહ ઝાલાને આપવાનો હતો.
માતાના મઢમાં ભક્તોની ભીડ:માતાનામઢમાં ચોથા નોરતે મંદિર પરિસર પડ્યું સાંકડું
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રીના રવિવારે પાંચમા નોરતે 25 હજાર કરતાં પણ વધુ સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યા હતા. જેને લઈને મંદિર પરિસર સાંકડું પડ્યું હતું વહેલી સવારથી મોડી રાત સુધી યાત્રિકોની અવરજવર ચાલુ રહેતા માતાજીના દર્શન માટે ભાવિકો કોઈ લાંબી કતાર લગાવી તેમના આશીર્વાદ લીધા હતા. રવિવારે જાહેર રજાને લઈને મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યા હતા અંદાજે 25 હજાર કરતા પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી યાત્રિકોએ મા આશાપુરા તેના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતાર લગાવી હતી. તેમજ અહીં આવેલા મોટી સંખ્યામાં માઇ ભક્તોએ બપોરે ભોજન પ્રસાદ માટે પણ લાંબી લાઈન લગાવતા મંદિર પરિસર સાંકડું પડ્યું હતું. યાત્રિકોને કોઈ અગવડ ન પડે તેમજ માતાજીના સરળતાથી દર્શન કરવાની સાથે ભોજન પ્રસાદનો લાભ લઈ શકે તે માટે જાગીર ટ્રસ્ટનો સ્ટાફ તેમજ પૂજારી સ્ટાફ દ્વારા આયોજન વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. રવિવારે મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને અહીંની મુખ્ય બજાર બસ સ્ટેશન વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. યાત્રિકો ખાનગી વાહનો દ્વારા આવ્યા હોવાથી પાર્કિંગ પ્લોટમાં પણ મોટી સંખ્યામાં વાહનોની કતાર જોવા મળી હતી. આજે રાત્રે મહા આરતી સાથે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાશેમાતાનામઢમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે દુહા છંદ સાથે ખેલૈયાઓ દ્વારા માતાજીના ગરબા લેવામાં આવે છે. આજે પાંચમા નોરતે રાત્રે અહીં મહા આરતી સાથે કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ બારોટ તેમજ રાજા વાસુ ગ્રુપ દ્વારા રાસ ગરબા સાથે માતાજીના ગુણગાનનો કાર્યક્રમ યોજાશે.
માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા યાત્રિકો અને સ્થાનિકો માટે કનેક્ટિવિટી વધારવા એક મહત્વના માર્ગને પાકો બનાવવાની માંગ ઉગ્ર બની છે. મઢથી અંદાજે બે કિલોમીટરના અંતરે આવેલા ધાર્મિક સ્થાન ‘જાગોરા ડુંગર’થી નખત્રાણાના પાનેલી ગામ સુધીના કાચા અને રેતાળ માર્ગને વહેલી તકે ડામર રોડમાં પરિવર્તિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મઢ આવતા યાત્રિકો પૈકી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મઢથી અંદાજે 2 કિલોમીટર દૂર આવેલા જાગોરા ડુંગર પર બિરાજમાન ‘જાગોરા માતાજી’ના દર્શનાર્થે જતા હોય છે. આ ડુંગરથી પાનેલી ગામ પણ માત્ર અઢી-ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. જોકે, આ બંને ગામ વચ્ચે આવેલો જાગોરા ડુંગરનો માર્ગ બંને તરફથી અત્યંત કાચો અને રેતીવાળો છે. જેના કારણે વાહનો લઈને આવતા યાત્રિકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ઘણીવાર વાહનો ફસાઈ જવાની નોબત આવે છે. જો આ રસ્તાનું ડામર માર્ગ તરીકે નવનિર્માણ કરવામાં આવે તો આ વિસ્તારના અનેક લોકોને મોટો ફાયદો થશે. યાત્રાધામ માતાના મઢ અને નખત્રાણા તાલુકાના પાનેલી ગામ વચ્ચે સીધો અને પાકો માર્ગ બની જવાથી આસપાસના વિસ્તારના લોકોને માતાના મઢ પહોંચવું ખૂબ જ સરળ અને ઝડપી બની જશે. પૂર્વ સરપંચની લેખિત રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાંમાતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ તંત્રની બેદરકારી છતી કરતા જણાવ્યું કે, “અંદાજિત 5 કિમીના અંતરવાળો આ રસ્તો બે તાલુકાઓને જોડતો મહત્વનો છે. હું જ્યારે સરપંચ પદે હતો, ત્યારે આ કાચા માર્ગને પાકો બનાવવા માટે સંબંધિત વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.”
શહેરના હોસ્પિટલ રોડ પર ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે પાલિકા દ્વારા લાખોના ખર્ચે હાઈમાસ્ટ ટાવર ઉભો કરાયો હતો, જેનો હેતુ આ વિસ્તારને પ્રકાશિત કરવાનો હતો. પરંતુ આ સુવિધા માત્ર ચાર દિન કી ચાંદની સાબિત થઈ છે. હાલમાં આ હાઈમાસ્ટ ટાવર બંધ છે અને તેની સાથે આસપાસની રોડ લાઈટો પણ ગુલ થતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં ગરકાવ થયો છે.હોસ્પિટલ રોડ માત્ર હોસ્પિટલો માટે નહીં, પરંતુ ખાણી-પીણીના કેન્દ્ર તરીકે ઓળખાય છે. દરરોજ સાંજે અહીં હજારોની સંખ્યામાં નાગરિકોની અવરજવર રહે છે, તેમ છતાં પાલિકાના શાસકો આ વિસ્તારની પ્રાથમિક સુવિધા પ્રત્યે ઘોર ઉપેક્ષા સેવી રહ્યા છે. રસ્તા પર ખાડા અને ઠેર-ઠેર જોવા મળતી ગંદકી દૂર કરવામાં નિષ્ફળ ગયેલી પાલિકા હવે પાયાની જરૂરિયાતમાં પણ કાપ મૂકી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.
ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છ જિલ્લાના 2.62 લાખ પરિવારોને મળશે એપ્રિલમાં ત્રણ મહિનાનું એક સાથે રાશન
કચ્છ સહીત દેશભરના રેશનકાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવનારા એપ્રિલ મહિનામાં કચ્છના 2,62087 લાખ જેટલા રાશન કાર્ડ ધારકોને એક સાથે ત્રણ મહિનાનું એપ્રિલ, મે અને જૂન મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. જિલ્લામાં 2.62 લાખ રેશન કાર્ડ ધારકો સહીત 10.50 લાખ લોકોને સીધો ફાયદો મળશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તમામ લાભાર્થીઓ પોતપોતાની નજીકની વાજબી ભાવની દુકાન પરથી નક્કી કરેલા સમય દરમિયાન આ અનાજ મેળવી શકશે. આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, તેમ છતાં આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત મળશે તેવી શક્યતા છે. સરકાર દ્વારા જાહેર વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. વર્ષ 2025 દરમિયાન આશરે દેશમાં 41.41 લાખ અપાત્ર રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હવે રેશનકાર્ડ અને લાભાર્થીઓની માહિતી સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવી છે. લગભગ તમામ વાજબી ભાવની દુકાનો પર ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ePOS) મશીનો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે અનાજ વિતરણ વધુ પારદર્શક અને સરળ બન્યું છે. આ સાથે જ 99 ટકા કરતાં વધુ લાભાર્થીઓને આધાર સાથે જોડવામાં આવ્યા છે અને લગભગ 98 ટકા વિતરણ બાયોમેટ્રિક આધારે થઈ રહ્યું છે. કચ્છમાં ગરીબોનું અનાજ મેળવતા 30 હજાર લોકોના કાર્ડ રદ્દવર્ષ 2025માં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં શંકાસ્પદ રેશન કાર્ડની યાદી જાહેર કરી હતી. જેમાં કચ્છના 1.28 લાખ રેશન કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં તાલુકા કક્ષાએ કેન્દ્ર સરકારની યાદી મુજબ વેરીફીકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજીત 30 હજાર જેટલા રાશન કાર્ડને રદ્દ કરવામાં આવ્યા છે. આ એવા લોકો હતા જે પોતે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સરકાર પાસેથી અનાજ મેળવીને ગરીબોનું અનાજ પર તરાપ લગાવતા હતા.
હિંસક જૂથ અથડામણ સર્જાઈ:ઘોઘાના કરેડા ગામે પ્રેમલગ્ન મુદ્દે એક જ પરિવાર વચ્ચે થયેલી હિંસક અથડામણ
ઘોઘા તાલુકાના કરેડા ગામે એક જ પરિવારની યુવતી દ્વારા કુટુંબિક સગાના દીકરા સાથે પ્રેમલગ્ન કરવાના મુદ્દે ઉગ્ર વિવાદ ભડકતા બે પક્ષ વચ્ચે લોખંડના પાઇપ, લાકડાના ધોકા, દાતરડું અને મરચાની ભૂંકી વડે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કરેડા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ જણાવ્યા મુજબ કરેડા ગામે રહેતા નાગજીભાઈ દામાભાઈ જાદવે નોંધાવ્યું હતું કે સાંજના સમયે તેઓ પોતાના ગામની દૂધની ડેરી પાસે પોતાના પુત્ર મગનભાઈ સાથે બેઠા હતા ત્યારે તેમના ભત્રીજા જીવણ વેલાભાઈ જાદવ દૂધનો કેન લઈને ત્યાં આવ્યો હતો અને અચાનક જ મગનભાઈને દીકરી ભગાડવાના મુદ્દે ઉશ્કેરતી ભાષામાં ટોકી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. નાગજીભાઈએ મામલો શાંત રહે તે માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે દીકરીને ભગાડી ગયા હો તો પણ અમને શાંતિથી જીવવા દો, છતાં જીવણ ઉશ્કેરાઈ ઝઘડામાં ઉતરી પડ્યો હતો. થોડી જ વારમાં જીવણનો ભાઈ બટુક તથા તેના પુત્રો મુન્ના અને વિપુલ પણ ત્યાં આવતા મામલો બગડ્યો હતો. મુન્નાના હાથમાં રહેલો લોખંડનો પાઇપ જીવણે ઝૂંટવી નાગજીભાઈના કપાળમાં જોરદાર પ્રહાર કર્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. પિતાને બચાવવા વચ્ચે પડેલા મગનભાઈ પર પણ લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધીરુભાઈ તથા પરિવારની વહુ સવુબેન વચ્ચે પડતા જીવણના પુત્ર હિતેશ અને પુત્રી કાજલે ઈંટના ટુકડાઓ વડે સવુબેનના મોઢા અને ડાબી આંખ ઉપર ગંભીર પ્રહાર કર્યો હતો, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. ઉગ્ર દેકારો થતા લોકો એકત્ર થઈ વચ્ચે પડ્યા હતા. જીવણ વેલાભાઈ જાદવ, બટુક વેલાભાઈ જાદવ, મુન્ના બટુકભાઈ જાદવ, વિપુલ બટુકભાઈ જાદવ, હિતેશ જીવણભાઈ જાદવ, કાજલ જીવણભાઈ જાદવ તથા વિનુ બટુકભાઈ જાદવ દ્વારા નાગજીભાઈ અને તેમના પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. બીજા પક્ષની ફરિયાદ મુજબ, જીવણભાઈ વેલાભાઈ જાદવે જણાવ્યું હતું કે તેઓ દૂધ ભરવા માટે ગામની ડેરીએ ગયા હતા ત્યારે તેમના કાકાના દીકરા મગન નાગજીભાઈ જાદવે તેમને રોકી તેમની દીકરીને ભગાડવામાં તમારો હાથ હોવાનું કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને ગાળો આપવાની ના પાડતા મગન ઉશ્કેરાઈ ગયો હતો જ્યાં મગનએ પોતાના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે જીવણભાઈના હાથ પર પ્રહાર કર્યો હતો તેમજ જમણા ગાલ ઉપર બટકું ભરી લીધું હતું. આ દરમિયાન મગનભાઈની પત્ની સવુબેન હાથમાં દાતરડું લઈને હુમલો કરવા દોડી આવી હતી, પરંતુ જીવણભાઈના ભત્રીજાએ દાતરડું ઝૂંટવી લઈ બચાવ કર્યો હતો. તેમ છતાં ઝઘડો વધુ ઉગ્ર બનતા ધીરુ નાગજીભાઈ ધારિયું લઈને, હાર્દિક મગનભાઈ લાકડાનો ધોકો લઈને અને નાગજી દામાભાઈ મરચાની ભૂંકી લઈને જીવણભાઈ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં જીવણભાઈને ઇજાઓ પહોંચતા તેમના પરિવારજનો વચ્ચે પડી તેમને બચાવ્યા હતા. બનાવ બાદ મગન નાગજીભાઈ, ધીરુ નાગજીભાઈ, હાર્દિક મગનભાઈ, નાગજી દામાભાઈ અને સવુબેન મગનભાઈએ જીવણભાઈને ધમકી આપી હતી કે જો તેમનું નામ લેશો અથવા આબરૂ અંગે વાત કરાશે તો જાનથી મારી નાખવામાં આવશે. આ સમગ્ર બનાવને પગલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે. દીકરીએ પ્રેમલગ્ન કરતા પરિવારમાં થયું ધીંગાણુંબનાવવાનું કારણ એવું હતું કે મગનભાઈ ની દીકરી એ તેમના કાકા ની દીકરી જમનાબેન બુધાભાઈ ના દીકરા સંજય સાથે પ્રેમ સંબંધ હોવાથી લગ્ન કરી લીધા હતા અને જેની શંકા મગનભાઈને જીવણભાઈ માથે હોય અને જીવણભાઈ મગનભાઈને દીકરી લઈ ગયા બાબતે ઉશ્કેરતા હોય તે બનાવ બનતા કરેડા ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે હિંસક મારામારી સર્જાઇ હતી.
ગુજકેટની પરીક્ષા:29 માર્ચે ભાવનગરમાં કુલ 7116 પરીક્ષાર્થી આપશે ગુજકેટ
હવે ધો.12 સાયન્સ ત્યારે વિદ્યાર્થીઓ તા.29 માર્ચને રવિવારે 10થી 4 વાગ્યા દરમિયાન લેવાનારી ગુજકેટની તૈયારીમાં લાગી ગયા છે. આ વર્ષે રાજ્યમાં કુલ 1,35,875 પરીક્ષાર્થી ગુજકેટમાં નોંધાયા છે જે ગત વર્ષે નોંધાયેલા 1,29,706ની તુલનામાં આ વર્ષે રાજ્યમાં 6,169 પરીક્ષાર્થી વધ્યા છે. ખાસ કરીને એ ગ્રુપમાં અને આઇટી તેમજ કમ્પ્યૂટર સાયન્સમાં રોજગારી વધતા એ ગ્રુપમાં આ વર્ષે 58,406 પરીક્ષાર્થી નોંધાાય છે જે ગત વર્ષે 49,175 હતા. આ વર્ષે ગ્રુપ એમાં 9,231 વિદ્યાર્થીઓ વધ્યા છે જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 3077 પરીક્ષાર્થી ઘટ્યા છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ 7116 પરીક્ષાર્થી નોંધાયા છે જેમાં 5807 ગુજરાતી માધ્યમ અને 1309 પરીક્ષાર્થી અંગ્રેજી માધ્યમના નોંધાયા છે. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 10થી 4 વાગ્યા સુધીમાં યોજાશે. વર્ષ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલી સ્કૂલોમાં ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત વિષયમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે. પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમમાં હશે. NCERT આધારિત ગુજકેટની પરીક્ષા રહેશે. જેમાં તમામ વિષયના 40 પ્રશ્નો હશે જે તમામ 40 ગુણના હશે. આમ કુલ 160 ગુણની ગુજકેટની પરીક્ષા યોજાશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે જેના માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ રહેશે જેના માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. વિષય અને માર્ક્સવાઇઝ અભ્યાસક્રમ પરીક્ષા માટે વિષયવાઇઝ સમયગુજકેટમાં ભૌતિક અને રસાયણ વિજ્ઞાન માટે 120 મિનિટનો સમય રહેશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિત માટે 60-60 મિનિટનો સમય રહેશે. આ વર્ષે રાજ્યમાં 6,169 પરીક્ષાર્થી વધ્યા
ભાવનગરમાં એરપોર્ટ રોડ નેચરલ પાર્ક ( સુભાષનગર)ની સામે મહાનગરપાલિકા સંચાલિત જોગર્સ પાર્ક આવેલો છે. આ જોગર્સ પાર્ક આ વિસ્તારના લોકો માટે બહુ ઉપયોગી છે, સિનિયર સિટીઝનો આ સ્થળે વોકિંગ અને સાંજનો સમયે રિલેક્સ થાય છે. આ પાર્ક આમ તો સુઘડ અને સ્વચ્છ છે, પરંતુ અહીં યુરિનલની વ્યવસ્થા ન હોવાથી ઉંમરલાયક વડીલોને મુશ્કેલીનો અનુભવ થાય છે. આજુબાજુમા પણ આવી કોઈ વ્યવસ્થા ન હોય વૃદ્ધાવસ્થાની યુરિનલની તકલીફ ધરાવતા વડીલોને માટે યુરિનલ વ્યવસ્થા સંબંધિત વિભાગ કરે તેવી લોકમાગણી છે. વધુમાં આ પાર્કમાં સફાઈ વગેરે જાળવણી અંગેનાં કામદારો આ કામગીરી ખૂબ સારી રીતે નિભાવે છે અને સાફ સૂથરૂ રાખે છે,સાથે સાથે વૃક્ષો/છોડવાઓની માવજત પણ કરે છે.પણ અહીં નિયમિત સિકયુરીટી વોચમેન નથી,જે કારણે હાલમા અહીં કસરતના સારા સાધનો સુવિધામાં લોકાપર્ણ કર્યા છે તે નાના બાળકો આવે છે, તે બાળસહજ રમતનાં સાધનો તરીકે ઉપયોગ કરતા હોય અમુક વખતે તેમને ઈજા થવા સંભવ છે,જે બાબતે જરૂરી ચોકસાઈ સંભાળ રાખવી જરૂરી છે. જેથી પાકૅ માં દેખરેખ પણ રહે, પહેલાં અહીં વોચમેન હતાં જે આવી દેખરેખ રાખતા હતાં.જેથી પાકૅમા કાયમી વોચમેનની વ્યવસ્થા કરવા અનુરોધ છે. -સુભાષનગરના વાચક ભદ્રેશભાઈ પાઠકનો રિપોર્ટ
સિદ્ધિ:મૂળધરાઈ જૂથ સહકારી મંડળી જિલ્લામાં પ્રથમ ક્રમે
રાજય સરકાર દ્વારા પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓને આર્થિક પ્રોત્સાહિત કરવા અને મંડળીઓને કામગીરીમાં ઉત્તમ ગુણવતા લાવવા માટે સને 2025-26ના વર્ષ માટે ઈનામી યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા સહકારી બેંક સાથે ભાવનગર જિલ્લો તેમજ બોટાદ,ગઢડા,સાવરકુ઼ડલા તાલુકાની કુલ 640 જેટલી મંડળીઓ જોડાયેલી છે આ યોજના અંતર્ગત જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર મંડળીને રૂા.પાંચ લાખની સહાય મંજુર કરવાની સત્તા રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગરને સરકાર દ્વારા સોપાયેલ છે. ભાવનગર જિલ્લા સહકારી બેંક સાથે ભાવનગર જિલ્લો તેમજ બોટાદ,ગઢડા,સાવરકુ઼ડલા તાલુકાની કુલ 640 જેટલી મંડળીઓ ખેતી વિષયક મંડળીઓ જોડાયેલી છે જે અંતર્ગત વલભીપુર તાલુકાની મુળધરાઇ જુથ સેવા સહકાર મંડળી સહકારથી સમૃધ્ધિની ભાવના સાથે કામ કરતી હોવાથી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાને પસંદગી પામેલ છે. મુળધરાઇ જુથ સે.સ.મંડળી હેઠળ તાલુકાના ભોજપરા,ભોરણીયા,રંગપુર અને પીપરાયા ગામના ખેડુત સભાસદોને તમામ પ્રકારના ધિરાણો તેમજ ખાતર-બીયારણ પુરૂ પાડવાની ઉમદા સેવા કરે છે. આ મંડળીનું ભંડોળ રૂા.12 કરોડનું છે. સભાસદોને રૂા.15 કરોડ કરતા વધુ રકમનું ધિરાણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે મંડળીએ રૂા.24 લાખનો નફો કરેલ છે. સ્વ.સતુભા ગોહિલએ વર્ષો સુધી જિલ્લા બેંકમાં ડાયરેકટર તરીકે કામગીરી કરી ત્યારબાદ અજીતસિંહ વી.ગોહિલ હાલ જિલ્લા બેંકમાં ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યાં છે હાલમાં મંડળીના મંત્રી તરીકે યોગીરાજસિંહ ગોહિલ સેવા આપી રહ્યાં છે. બે કેન્દ્રો પરથી ખાતરનું જરૂરિયાત મુજબ વિતરણમૂળધરાઈ જુથ સેવા સહકારી મંડળીમાં કુલ 717 સભ્યો છે અને તમામને ખેતીવિષયક ધિરાણ આપવામાં આવે છે ઉપરાંત સભાસદો ની ખાતરની જરૂરિયાત મુજબ વિતરણ માટે બે કેન્દ્રો પરથી કરવામાં આવે છે તેથી કયારેય ખાતરની અછત નથી રહેતી. દર વર્ષ સભ્ય લેવલે 100% વસૂલાત, 0 % NPA ધરાવતી મંડળીગ્રામ પંચાયતો સાથે સંકલન કરી મંડળી કાર્યક્ષેત્રના ગામોના ગ્રામજનોને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.મંડળીની આવી વિશિષ્ટ સેવાઓને ધ્યાને લઈ રાજય સરકાર ધ્વારા મુળધરાઈ જુથ સે.સ.મ.લીને જોલ્લાની શ્રેષ્ઠ મંડળી જાહેર કરવામા આવી છે. દર વર્ષ સભ્ય લેવલે 100 ટકા વસુલાત અને 0 ટકા એન.પી.એ ધરાવતી આ મંડળીને જિલ્લા બેંક ધ્વારા ઈનામ આપી પ્રોત્સાહીત કરવામા આવે છે.ગુજરાત એસ.ટી. કર્મચારી મંડળના સ્વર્ગસ્થ પ્રમુખ સતુભા ગોહીલનુ આ પૈત્રુક ગામ છે તેઓએ મુળધરાઇ જૂથ મંડળીનુ પ્રતિનિધિત્વ કરી વર્ષો સુધી જિલ્લા સહકારી બેકમા ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી છે. દર વર્ષે ઉચું ડિવિડન્ડ આપતી મુળધરાઈ મંડળીને રાજ્ય સરકાર તરફથી રૂ.5 લાખની રકમનુ ઇનામ પ્રથમ ક્રમાક પ્રાપ્ત થતા મુળધરાઈ ગામ તથા મંડળીના સંયોજીત ગામોના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ટોપ અપ સહાય:ભાવનગરમાં ટોપ અપ સહાયમાં 1157 લાભાર્થીઓને સહાય
ભાવનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય ટોપ અપ સહાય હેઠળ જે યોજના અમલમાં છે તેમાં 100 ટકા રાજ્ય ફાળા હેઠળ યોજના ક્યારથી અમલમાં છે. ગુજરાત વિધાનસભામાં ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્ય ટોપ અપ સહાય હેઠળ તરીકે કુલ 1157 લાભાર્થીઓને કુલ રૂપિયા 5785 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ અંગે એક પ્રશ્ન ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પૂછતા ગ્રામ વિકાસ મંત્રીએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 100 ટકા રાજ્ય વાળા હેઠળ રાજ્ય ટોપ અપ સહાયની યોજના તારીખ પહેલી એપ્રિલ 2025થી અમલમાં છે. આ યોજના અંતર્ગત પ્રતિ લાભાર્થીને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ એક વર્ષમાં રાજ્ય ટોપ અપ સહાય હેઠળ તરીકે 1157 લાભાર્થીઓને કુલ રૂ. 5785 કરોડની સહાય ચૂકવાઇ છે.
વેધર રિપોર્ટ:ગરમી વધી, બે દિવસમાં બપોરે મહત્તમ તાપમાન 4 ડિગ્રી વધ્યુ
ભાવનગર શહેરમાં વાવાઝોડાની સ્થિતિ વિખાઇ ગઇ છે અને તડકો વધી રહ્યો છે ત્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન વધીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 23.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા દિવસ અને રાત બન્ને સમય ગરમીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં આખો દિવસ પવનની ઝડપ 12 કિલોમીટર રહી હતી. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતાં જ શહેરમાં ગરમીનો પારો વધીને 34.9 ડિગ્રી પહોંચી ગયો છે. સિસ્ટમ નબળી પડતાં જ ગરમીનો પ્રકોપ ફરી શરૂ થયો છે. જેથી 2થી 3 દિવસમાં જ ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી જશે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રી સેન્ટીગ્રેડ હતો તે આજે 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. જ્યારે 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 23.2 ડીગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આમ, દિવસ અને રાત્રે તાપમાન વધ્યું છે. શહેરમાં આજે સવાર અને સાંજે પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઇ હતી. તો શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા હતુ તે સાંજે ઘટીને 26 ટકા થઇ ગયુ હતુ. માવઠા અને વાવાઝોડાનો માહોલ વીખાઈ ગયા બાદ ભાવનગરમાં બે દિવસમાં બપોરે તાપમાન 4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 35 ડિગ્રીને આંબવા આવ્યુ છે ત્યારે બપોરે ગરમી અને બફારો વધ્યા છે.
ઉનાળું વાવેતર:ડુંગળીનું રાજ્યમાં કુલ પૈકી 50 ટકા વાવેતર ભાવનગરમાં થયુ
માવઠા અને સાથે વાવાઝોડા બાદ બાદ હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો ફરી એક વખત આરંભ થઈ ગયો છે ત્યારે ઉનાળુ ઋતુમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 38,700 હેક્ટરમાં થયું છે. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 5,700 હેક્ટર થયું છે તે પૈકી 2,800 હેક્ટર વાવેતર એકલું ભાવનગર જિલ્લામાં થયું છે એટલે કે રાજ્યના કુલ વાવેતરના 50 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 38,700 હેક્ટરમાં થયું છે. જેમાં ડુંગળી સાથે મગફળીનું વાવેતર પણ મુખ્ય છે તો તલ અને બાજરીનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. આમ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં ઉનાળુ વાવેતરમાં 38,700 હેક્ટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે. ઉનાળુ મગફળીનું સમગ્ર રાજ્યમાં વાવેતર 23,400 હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 7,200 હેક્ટર વાવેતર ઉનાળુ મગફળીનું થતા રાજ્યના કુલ વાવેતરના 30.77 ટકા વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. આમ, ભાવનગર જિલ્લો આ વખતે ડુંગળીની સાથે ઉનાળુ મગફળીમાં પણ રાજ્યમાં વાવેતરમાં નંબર વન રહ્યો છે.
ભાવનગર રેલવે ડિવિ.ને 2025 ફળ્યુ:2025માં ભાવનગર રેલવે ડિવિ.ને રૂ. 1319.57 કરોડની આવક નોંધાઇ
ભાવનગર રેલવે ડિવિઝનને કેલેન્ડર વર્ષ 2025 ફળ્યુ છે, અને પેસેન્જર, માલ પરિવહન, ટિકિટ ચેકિંગ થકી કુલ 1319.57 કરોડની આવક પ્રાપ્ત થઇ છે. વર્ષ દરમિયાન સપ્ટેમ્બર મહિના દરમિયાન સૌથી વધુ 104.61 કરોડની માલ પરિવહનની આવક થઇ હતી, જ્યારે મુસાફર પરિવહન થકી સૌથી વધુ આવક નવેમ્બર માસમાં 29.50 કરોડની થઇ હતી. રેલ મુસાફરીને મુસાફરો સૌથી વધુ પ્રાધાન્ય આપે છે, તેવી જ રીતે માલ પરિવહનમાં પણ રેલવે પર વધુ ભાર મુકવામાં આવે છે. ભાવનગર રેલવે ડિવિઝન તળે સંચાલીત થતી તમામ ટ્રેનોમાં પેસેન્જરની આવક સવિશેષ નોંધાઇ રહી છે, અને ભાવનગર-બાંદ્રા ટ્રેન ભાવનગર રેલવે ડિવિઝનની સૌથી વધુ આવક રળી આપતી ટ્રેન સાબિત થઇ રહી છે. કાયમ માટે ભાવનગર-બાંદ્રા ટ્રેન હાઉસફુલ હોય છે, અને તેના કારણે જ ભાવનગર-બાંદ્રા વિશેષ સાપ્તાહિક ટ્રેન પણ ફાળવવામાં આવી છે. મહિનાની દ્રષ્ટિએ વર્ષ 2025માં સૌથી વધુ આવક સપ્ટેમ્બર માસમાં થઇ છે, આ મહિના દરમિયાન રેલવેને મુસાફર થકી 26.93 કરોડ, માલ પરિવહન થકી 104.61 કરોડ અને ટિકિટ ચેકિંગ થકી 0.45 કરોડની આવક થઇ હતી આમ કુલ 131.99 કરોડની આવક માત્ર સપ્ટેમ્બર માસમાં થઇ છે, જ્યારે ઓક્ટોબરમાં 128.48 કરોડ, નવેમ્બરમાં 125.73 કરોડની આવક રેલવેને થઇ છે. નોંધપાત્ર આવક છતા નવી ટ્રેનોમાં સુસ્તતાભાવનગર રેલવે ડિવિઝનને નોંધપાત્ર આવક થઇ રહી છે, પરંતુ ભાવનગર-સુરત દૈનિક ટ્રેન ફાળવવા માટે પાલિતાણા-બાંદ્રા ટ્રેન દૈનિક કરવા માટે વારંવારની રજૂઆતો છતા કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. અન્યથા વધુ આવક થાય. > એસ.એન.મહેતા, નિવૃત્ત અધિકારી રેલવે
મંડે પોઝિટીવ:વિકલાંગ કંચનબહેન સંભાળે છે વૃદ્ધ માતા-પિતાની જવાબદારી
ત્રણ વાના મુજને મળ્યા: હાથ, હૈયું અને મસ્તક, ઘણું દઈ દીધું દીનાનાથ, હવે ચોથું નથી માંગવું. કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિને સાર્થક કરતી ઘટના જોવા મળી છે અને શારીરિક ખોડખાપણ હોવા છતાં તેઓ લડવૈયાની જેમ જિંદાદિલથી જિંદગી જીવતા હોય છે. આવું જ જિંદાદિલીનું નામ છે કંચનબેન સોલંકી છે. તેઓને બન્ને વિકલાંગતા હોવા છતાં કંચનબહેન 101 વર્ષીય પિતા અને 93 વર્ષીય માતા સહિત કુટુંબની જવાબદારી સંભાળે છે. કંચનબેન મૂળ સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામના વતની છે. હાલમાં પણ તેમના મમ્મી અને પપ્પા ત્યાં ગામડે વસવાટ કરે છે.મમ્મીની ઉંમર 93 વર્ષ અને પપ્પાની ઉંમર 101 વર્ષ છે. તેઓને કંચનબેન મદદરૂપ થાય છે. પાંચ દીકરીઓમાં તેઓ સૌથી નાના હોવાની સાથે લગ્ન કર્યા વિના જ કુટુંબ પરિવારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. એ પહેલાં ગામડે રહીને જ માલઢોરનું બધું જ કામ સંભાળતા હતા. તેમને અઢી વર્ષની ઉંમરથી તાવ આવ્યા પછી આંચકાને પોલિયોની બીમારીને કારણે બંને પગ ખોડખાપણભર્યા બની ગયા હતા. અત્યારે 42 વર્ષની ઉંમર તેમની થઈ છે, છતાં તેઓ ખૂબ આનંદથી અને મહેનત કરીને આટલા વર્ષોથી જિંદગી જીવી રહ્યા છે. તેમને જરા પણ જિંદગી પ્રત્યે કોઈ પણ પ્રકારનો રંજ નથી. અત્યારે ભાવનગરની જાણીતી માઈક્રોસાઈન કંપનીમાં તેઓ કામ કરીને પોતાનું જીવન જીવે છે.સારી રીતે તેઓ પોતે ચાલી શકતા નથી. ઢસડાઈને ચાલવું પડે છે, પણ ઢસડાઈને જીવતા નથી. રિક્ષામાં આવન જાવન કરે છે અને એક જગ્યાએ બેસીને તેઓ કામ કરી શકે છે. હાલ વાઘાવાડી રોડ વિસ્તારમાં તેઓને કંપની તરફથી ઓરડાઓ આપવામાં આવતા ત્યાં નિવાસ કરે છે. પગની તકલીફ જિંદગીમાં કાંઈ ખાસ અવરોધક લાગી નહીંહાલમાં તેઓ ભાવનગરની કંપનીમાં જોડાયા છે અને જિંદાદિલથી જીવન જીવી રહ્યા છે. તેમનો ચહેરા ઉપરનો આનંદ પણ કોઈ પણ વ્યક્તિને હિંમત આપી શકે તેવો છે. તેમણે મુલાકાત દરમિયાન જણાવ્યું કે, બાળપણમાં તેમને ખૂબ તાવ આવવા સમયે સમયસર દવાખાને પહોંચી શકાયુ નહોતું અને પછી આંચકા ને પોલિયોની બીમારીને કારણે મને આ રીતે પગની તકલીફ રહી ગઈ હતી.પરંતુ અત્યાર સુધીમાં મને ક્યારેય તે વાત જિંદગી જીવવામાં અવરોધક લાગી નથી.
ઠગાઈ:બે દલાલ સહિત 22 જણાએ રૂ. 4.53 કરોડની ઠગાઈ કરી
સારોલીની રઘુવીર ટ્રેડ સેન્ટરના વેપારી સહિત 3 વેપારીઓ પાસેથી રૂ.4.53 કરોડનું કાપડ ઉધારમાં લઈ છેતરપિંડી કરનાર બે કાપડ દલાલ સહિત 22 જણા સામે પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાય છે. પર્વત પાટિયા સ્થિત ઇન્ટરસિટી ટાઉનશિપમાં રહેતા ચિરાગ મગનભાઈ ચૌધરી રઘુવીર ટ્રેડ સેન્ટર માર્કેટમાં ફેબ્રિકના નામે કાપડનો ધંધો કરે છે. તેમને ત્યાં દસેક વર્ષથી કાપડ દલાલ વિશાલ ઉર્ફે વિકી કનૈયાલાલ ગાંધી દલાલીનું કામ કરે છે. તારીખ 21-12-2014ના રોજ વિશાલ દલાલ રોહિત ઉર્ફે પંકજ ચંદનમલ તેલપુરીયા અને લઈને આવ્યા હતા અને તે મહિધરપુરા ફાલસાવાડી સ્થિત ગોલ્ડન પોઇન્ટમાં વિરાટ એજન્સીના નામે કાપડ દલાલી કરતા હોવાની ઓળખાણ આપી હતી. શરૂઆતમાં બંને દલાલ હોય અલગ-અલગ પાર્ટીને ઉધારમાં કાપડ અપાવી સમયસર પેમેન્ટ આપીને ચિરાગ ચૌધરીનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ બંને દલાલોએ અગ્રવાલ ફેશનના મનોજકુમાર ભાગ્યશ્રી ફેશનના મુકેશ દોશી સહિત 14ને ઉધારમાં રૂ. 2,13,16,2002 નું કાપડ ઉધાર અપાવ્યું હતું. 30 દિવસમાં કાપડનું પેમેન્ટ કરવાનું હતું. જો કે, વેપારીઓએ પેમેન્ટ નહીં કરતા ચિરાગ ચૌધરી ઉઘરાણી શરૂ કરી હતી. પ્રથમ આ વેપારી અને દલાલે રૂપિયા આપી દેવાની વાતો કરી સમય પસાર કર્યા બાદ તમામે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.
પુણાના રત્નકલાકાર સાથે લગ્ન કરી નાસિકની લૂંટેરી દુલ્હન રૂ. 3.04 લાખનો મુદ્દામાલ લઈ ભાગી ગયાની ફરિયાદ નોંધાઈ છે. પુણા રહેતા પ્રફુલ ગોહિલ (37) રત્નકલાકાર છે. 2015માં તેમના લગ્ન થયા હતા, જોકે મનમેળ નહીં રહેતા 2023માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2024માં લગન્ બાબતે સમાજના મોહન રામજી ટાંકનો સંપર્ક કર્યો હતો. મોહને પોતાના મિત્ર જીતેન્દ્રકુમાર જૈન લગ્ન કરાવતા હોવાનું અને નાસિકમાં એક કન્યા હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં તારીખ 4 -9- 2024ના રોજ મોહને ફોન કરીને પ્રફુલને નાસિક કન્યા જોવા જઈ રહ્યો હોવાનું કહ્યું હતું. શીતલ નામની કન્યા સંસ્કારી અને દેખાવડી છે અને તેના પિતા નથી તેમ કહ્યું હતું. બાદમાં પ્રફુલને વીડિયો કોલથી વાત કરાવી હતી. પ્રફુલને કન્યા પસંદ પડતા તેણે લગ્નની હા પાડી હતી. ત્યારબાદ મોહન અને જીતેન્દ્રએ શીતલ નિકમ, તેની માતા શોભના તથા મામા માધવને લઈને તેમના ઘરે આવ્યા હતા અને રૂપિયા 1.90 લાખમાં લગ્ન નક્કી કર્યા હતા. આ રૂપિયા લઇ લીધા બાદ તારીખ 5-9-2024ના રોજ કામરેજ રામેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં પ્રફુલે શીતલને ચાંદીના ઝાંઝર, સોનાની વીંટી, નાકનો દાણો આપ્યા હતા. તારીખ 8-9-2024ના રોજ જીતેન્દ્રની પત્નીએ શીતલના ફોન પર કોલ કર્યો હતો અને પ્રફુલને કહ્યું હતું કે શીતલની માતા ગણપતિ ઉત્સવ હોવાથી તેને બોલાવે છે. થોડા દિવસમાં પરત આવી જશે. જો કે, પ્રફુલે પોતે નવા લગ્ન કર્યા હોવાથી ગામડે જવાના છે બાદમાં આવશે એમ કહ્યું હતું. જો કે, ત્યારબાદ લગ્નના પાંચમા જ દિવસે શીતલ ઘરેણાં લઈ નાસી ગઈ હતી અને ફોન બંધ કરી દીધો હતો. આ અંગે જીતેન્દ્ર તથા મામા બનીને આવેલા માધવને કહેતા તેમણે પણ જવાબ આપ્યો ન હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પ્રફુલે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેલી દુલ્હન શીતલ બાબુરામ નિકમ, માધવ માઘ (રહે રામેશ્વર નગર ઓરંગાબાદ મહારાષ્ટ્ર), જીતેન્દ્ર જૈન (રહે જોલાદ રાજસ્થાન) અને મોહન પાક (રહે કેવલ પાર્ક અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પહેલી છોકરી પસંદ ન પડી તો બીજી બતાવીમોહન અને જીતેન્દ્ર અગાઉ પ્રફુલને લઈને નાસિક ગયા હતા. જ્યાં તેને એક કન્યા બતાવી હતી પણ પ્રફુલને પસંદ ન આવતાં તેણે ના પાડી દીધી હતી. આ માટે તેણે ભાડા પેટે રૂ. 5000 લીધા હતા. બીજી વખત મોહન અને જીતેન્દ્ર તેમને નાસિક લઈ ગયા હતા અને કન્યા બતાવી હતી, જેના તેમણે ભાડાના રૂ 4000 લીધા હતા.

36 C