નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ મહિનામાં જ્યારે તમામ વેપારીઓ પોતાના હિસાબો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે, ત્યારે સુરત ઇન્કમટેક્સ વિભાગે શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. બુધવારે વહેલી સવારે મિરીખ ગ્રુપ અને ઓપેરા ગ્રુપ પર શરૂ થયેલી તપાસનો સીધો સંબંધ માર્ચ એન્ડિંગના ટેક્સ ટાર્ગેટ અને બેહિસાબી રોકડ વ્યવહારો સાથે હોવાનું મનાય છે. આ કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં સન્નાટો છવાઈ ગયો છે. રિયલ એસ્ટેટમાં રોકડમાં વ્યવહાર થયા હોવાની માહિતી બાદ તપાસસામાન્ય રીતે માર્ચ મહિનો આવકવેરા વિભાગ માટે વસૂલાતનો સૌથી મહત્વનો સમય હોય છે. વિભાગ પાસે પહેલેથી જ ડેટા એનાલિટિક્સ દ્વારા એવી માહિતી હતી કે, અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં બુકિંગ દરમિયાન મોટી માત્રામાં રોકડ લેવામાં આવી છે. મિરીખ અને ઓપેરા ગ્રુપ પરના દરોડા એ સાબિત કરે છે કે વિભાગ આ વર્ષે ટેક્સ ચોરી રોકવા માટે કોઈ કચાસ રાખવા માંગતું નથી. 80 અધિકારીઓની ટીમે કરેલી આ કાર્યવાહી માર્ચ એન્ડિંગ પહેલાની સૌથી મોટી રેડ માનવામાં આવે છે. નવસારી અને ધોલેરાના પ્રોજેક્ટ્સ તપાસના ઘેરામાંઓપેરા ગ્રુપ દ્વારા નવસારીમાં ચાલી રહેલા મોટા પાયે પ્લોટિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ તેમજ મિરીખ ગ્રુપના ધોલેરા SIR સ્થિત પ્રોજેક્ટ્સમાં થયેલા રોકાણો શંકાના દાયરામાં છે. માર્ચ એન્ડિંગ નજીક હોવાથી ઘણા રોકાણકારો પોતાના કાળા નાણાંને રિયલ એસ્ટેટમાં ખપાવવાનો પ્રયાસ કરતા હોય છે. આઇટી વિભાગે આ બંને ગ્રુપ્સના પાછલા ત્રણ વર્ષના સેલ્સ રજિસ્ટર અને કાચા હિસાબો જપ્ત કર્યા છે, જેની સરખામણી હવે ફાઈલ થયેલા ઇન્કમટેક્સ રિટર્ન સાથે કરવામાં આવશે. જમીન દલાલો દ્વારા થતા ‘કેશ’ વ્યવહારો પર તપાસના દાયરામાંઆ તપાસમાં રિયલ એસ્ટેટના મુખ્ય સૂત્રધાર ગણાતા જમીન દલાલો - વિશાળ રાવ અને આગમ બડેચાના સ્થળો પર પણ તપાસ લંબાવવામાં આવી છે. જમીનના સોદામાં ઘણીવાર સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે જંત્રી કરતા વધુ રકમ રોકડમાં લેવામાં આવતી હોય છે. માર્ચ એન્ડિંગમાં આવા વ્યવહારોનું સેટલમેન્ટ થતું હોય છે, જેની ચોક્કસ બાતમીના આધારે વિભાગે આ દરોડા પાડ્યા છે. દલાલોના ઘરેથી મળી આવેલા વાંધાજનક દસ્તાવેજો મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહ્યા છે. ડિજિટલ ડેટા અને ‘કોડેડ’ ડાયરીઓનું રહસ્યદરોડા દરમિયાન ટેકનિકલ ટીમે સર્વર અને ક્લાઉડ સ્ટોરેજમાંથી અનેક ડિજિટલ પુરાવા કબજે કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચ એન્ડિંગના ક્લોઝિંગ સ્ટોક અને વેચાણના આંકડાઓમાં ગેરરીતિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જપ્ત કરાયેલી કેટલીક ડાયરીઓમાં કોડવર્ડમાં લખાયેલા વ્યવહારો મળ્યા છે, જે ઉકેલવા માટે એક્સપર્ટની મદદ લેવાઈ રહી છે. આ ડેટાના આધારે આગામી દિવસોમાં સુરતના અન્ય મોટા માથાઓની પણ પૂછપરછ થઈ શકે છે. તપાસના અંતે મોટી કરચોરી સામે આવવાની શક્યતાઆવકવેરા વિભાગની આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને લોકર્સ ખોલવાની પ્રક્રિયા બાકી છે. માર્ચના અંત સુધીમાં આ તપાસના આધારે કરોડો રૂપિયાની અઘોષિત આવક બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. વિભાગનો ઉદ્દેશ્ય માત્ર ટેક્સ વસૂલવાનો જ નહીં, પણ રિયલ એસ્ટેટમાં ચાલતા બિનહિસાબી નાણાંના પ્રવાહને રોકવાનો પણ છે. આ દરોડાએ સુરતના અન્ય ઉદ્યોગપતિઓને પણ સાવચેત કરી દીધા છે.
ગીર સોમનાથ જિલ્લામાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ પોતાની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં બહેનો જિલ્લા સેવાસદન ખાતે એકઠી થઈ હતી અને નિવાસી અધિક કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવી તેમની માંગણીઓ રજૂ કરી હતી. આશા વર્કર બહેનોએ જણાવ્યું કે તેમની મુખ્ય સમસ્યા મહેનતાણાની સમયસર ચુકવણી ન થવાની છે. મહિનાઓ સુધી મહેનતાણું ચૂકવાતું ન હોવાથી તેમને ઘરખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડે છે. કોરોનાકાળથી લઈને ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બહેનોનો આરોપ છે કે સરકાર દ્વારા વિવિધ ઓનલાઈન રિપોર્ટિંગ અને એપ આધારિત કામગીરી માટે દબાણ કરવામાં આવે છે, પરંતુ ઘણી આશા વર્કર પાસે સ્માર્ટ એન્ડ્રોઇડ મોબાઈલ નથી. ટેકનોલોજી અને ઇન્ટરનેટની યોગ્ય સુવિધા વિના કાર્ય કરવાનું કહેવું અન્યાયી છે. આ ઉપરાંત, લાંબા સમયથી યુનિફોર્મ આપવામાં આવ્યું નથી, તેમ છતાં ફરજ દરમિયાન યુનિફોર્મમાં હાજર રહેવા માટે દબાણ કરવામાં આવે છે. આ મુદ્દે પણ આશા વર્કર બહેનોમાં નારાજગી પ્રવર્તી રહી છે. સરકાર સમક્ષ તેમની મુખ્ય માંગણીઓમાં મહેનતાણું સમયસર ચૂકવવું, ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનો પૂરા પાડવા, બાકી રહેલું યુનિફોર્મ વહેલી તકે આપવું, અને આશા વર્કર તથા ફેસિલિટેટર બહેનોને યોગ્ય માન-સન્માન અને સુરક્ષા પૂરી પાડવાનો સમાવેશ થાય છે. આશા વર્કર બહેનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવતી આશા વર્કર બહેનોનો આ વિરોધ સરકાર માટે એક મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે.
ગોધરા શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટના શહેરની યોગેશ્વર સોસાયટીમાં બની હતી. યુવકની ઓળખ યોગેશ્વર સોસાયટીના કરણ નામવાણી તરીકે થઈ છે. તેણે તેની માતાની સારવાર માટે શિવ જીતુભાઈ પારવાણી પાસેથી રૂ. 1.26 લાખ વ્યાજે લીધા હતા. કરણનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં વ્યાજ પેટે રૂ. 5 લાખ ચૂકવી દીધા છે. આટલી મોટી રકમ ચૂકવી દીધા બાદ પણ, વ્યાજખોર શિવ પારવાણી દ્વારા મૂળ રકમની વસૂલાત માટે કરણ પર સતત દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે તે માનસિક ત્રાસ અનુભવી રહ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા કરણ નામવાણીએ એક વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, મેં મારી માતાના ઈલાજ માટે પૈસા લીધા હતા, જેની સામે અનેકગણું વ્યાજ ચૂકવી દીધું છે. તેમ છતાં શિવ પારવાણી દ્વારા સતત માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેનાથી કંટાળીને હું આ અંતિમ પગલું ભરી રહ્યો છું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ યુવકને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એમ.વી. વસૈયાએ જણાવ્યું હતું કે, વ્યાજખોર શિવ પારવાણી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપતો મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. આ નિર્ણયથી શિક્ષકોને હવે વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી સંબંધિત ફરજો સિવાયની અન્ય તમામ બિન-શૈક્ષણિક કામગીરીમાંથી રાહત મળશે. લાંબા સમયથી શિક્ષકો ફરિયાદ કરી રહ્યા હતા કે બિન-શૈક્ષણિક કામગીરીના ભારણને કારણે તેઓ બાળકોના શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના હુકમ અને RTE એક્ટ-2009 ના અસરકારક અમલીકરણ માટે આ પગલું લેવાયું છે. શિક્ષણ વિભાગે વર્ષ 2011ના પરિપત્રની કડક અમલવારી કરવાનો આદેશ આપ્યો છે. આ મુજબ, શિક્ષકોને માત્ર ત્રણ જ બિન-શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવશે: ચૂંટણી પ્રક્રિયા, વસ્તી ગણતરી અને આપત્તિ વ્યવસ્થાપન. આ સિવાયની તમામ આનુષંગિક કામગીરીઓમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે. આ મામલે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલો આ પરિપત્ર વર્ષ 2011ના ઠરાવ અને સુપ્રીમ કોર્ટના આદેશોનું કડક પાલન સુનિશ્ચિત કરશે. આ નિર્ણયથી શિક્ષકો શાળાઓમાં શિક્ષણ કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. બિન-શૈક્ષણિક ભાર ઓછો થવાથી સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનશે અને બાળકોના શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે તેવી અપેક્ષા છે. તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને આ ઠરાવનો ચુસ્ત અમલ કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ નિર્ણય શિક્ષકોને બાળકોના શિક્ષણ પાછળ વધુ સમય ફાળવવા સક્ષમ બનાવશે.
અમદાવાદના ટેક્સ ભરવા પ્રત્યે જાગૃત નાગરિકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં ઓનલાઇન પેમેન્ટ સહિત સાથે કુલ 15 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. 9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. 12 ટકાથી લઈ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ પર એક ટકા જેટલી વધુ રાહત આપવામાં આવશે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાગુ કરવામાં આવી છે. ગત વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટની યોજનામાં રૂ. 845.35 કરોડની આવક થઈ હતી. જેથી ચાલુ વર્ષે પણ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાગુ કરવામાં આવી છે. સળંગ ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12 અને 2 ટકા તથા ચાલુ નાણાંકીય વર્ષ માટે એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા તેમજ ઓનલાઇન પેમેન્ટ માટે એક ટકાની વધુ રાહત આપવામાં આવશે. આમ કુલ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે. 9 એપ્રિલથી 31 મે સુધી આ રીબેટ સ્કીમ ચાલુ રહેશે. આભ જેટલો લાભની યોજનાનો લોકો ફાયદો મેળવી શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 26 લાખ જેટલા ટેક્સ પેયર્સ છે. જેમાં 6.50 લાખ કોમર્શિયલ અને 19.50 લાખ રહેણાંક પેયર્સ છે. એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ ગત વર્ષે પણ લોકોએ લીધો હતો. વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો 6 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો. કુલ 845.35 કરોડની આવક થઈ હતી. રૂ. 89.90 કરોડની રિબેટ આપવામાં આવી હતી. લોકો પોતાનો સમયસર ટેક્સ ભરે અને વધુમાં વધુ આ યોજનાનો લાભ એના માટે આ યોજના જાહેર કરી છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં બે યુવક પર 10 થી 15 લોકોના ટોળા ભેગા થઈને જીવલેણ હુમલો કર્યો હતો. જેમાંથી એક યુવકને પીઠના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા.બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે બનાવના 10 દિવસ બાદ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓને બરાબરનો પાઠ ભણાવી ઘટના સ્થળે લઈ જઈ સરભરા કરી હતી. ઘુવડ ગેંગના 10 થી 15 લોકોએ 14મી ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતોવસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ શક્તિ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં મહાવીરસિંહ મોરી ગાડી લે વેચનો ધંધો કરે છે.14 ફેબ્રુઆરી 2025ની રાત્રે તેઓ બાંકડા પર બેઠા હતા ત્યારે ઘુવડ ગેંગના 10 થી 15 લોકોએ અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં કરેલા એક કેસની અદાવત રાખીને છરા ,લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.હુમલામાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે ઘુવડ ગેંગના પાંચ આરોપીઓને દબોચી લીધાઆ બનાવ બાદ સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ઘોડાસર તરફથી નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં ભાગી રહેલા આરોપીઓનો પીછો કર્યો હતો.વિશાલા બ્રિજ પાસે પોલીસે કારને કોર્ડન કરી રોકી હતી અને કારમાં બેઠેલા પાંચેય આરોપી પરેશ દેસાઈ ,સુનિલ રબારી ,ટાઇગર દેસાઈ,જયેશ રબારી,મોન્ટુ ભરવાડની ધરપકડ કરી છે.જોકે હજુ ફરાર આરોપીઓની તપાસ ચાલી રહી છે. એસીપી જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ફરિયાદી સિંધુ ભવન રોડ પર જઈ રહ્યા હતા ત્યારે હોર્ન મારવા અને પાર્ક કરવા બાબતે આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી.જે બાદ બંને વચ્ચે સમાધાન પણ થયું હતું.પરંતુ બીજા દિવસે આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી પર હુમલો કર્યો હતો.
સંતરામપુરના બટકવાડામાં દીપડાનો હુમલો:રહેણાંક વિસ્તારમાં ઘૂસી બે બકરાને નિશાન બનાવ્યા
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ગામના નવાઘરા ફળિયામાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી બકરાં પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, દીપડો એક બકરાને પકડીને લઈ ગયો હતો, જ્યારે અન્ય એક બકરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હુમલાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ઘટનાની જાણ થતાં જ સંતરામપુર ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ફોરેસ્ટ વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા જણાવ્યું છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે, સંતરામપુર તાલુકામાં અગાઉ પણ પશુઓ તેમજ માનવો પર દીપડા દ્વારા હુમલાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.
અમદાવાદના કે કે નગર વિસ્તારમાં આવેલા સિવિલ પાર્કમાં એક હોન્ડા સિટી ગાડી પૂર ઝડપે બંગલામાં ઘૂસી ગઈ હતી. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી બંગલાનો ગેટ તોડીને અડધી અંદર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટુવ્હીલર અને ઘરનો મુખ્ય દરવાજો તૂટી ગયો હતો. આસપાસના લોકોએ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત કારચાલકને હોસ્પિટલ ખસેડ્યો છે. બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ગાડીના ચોરખાનામાંથી દારૂ ઝડપાયો:બનાસકાંઠા LCBએ રૂ. 2.57 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો, એક ઝડપાયો
બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ગાડીમાં ગુપ્ત ખાના બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે GJ 01 RC 7210 નંબરની ડસ્ટર ગાડીમાંથી 791 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂની કિંમત આશરે ₹2,57,351/- આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹5,67,351/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી હર્ષ ઉદેસિંહ રાજપૂત (રહે. ઊંઝા, મહેસાણા) ને માલણ ગામની સીમમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેણે પોતાની ગાડીના નીચેના ભાગે અને ડીક્કીમાં ગુપ્ત ખાના બનાવીને દારૂ સંતાડ્યો હતો. આ દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર નીતાબેન પવનભાઈ ઓડ (રહે. ઊંઝા) ફરાર છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે આ સફળતા મળી. આરોપીઓ દ્વારા આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમારી શાળાના મહિલા શિક્ષિકા અમને ખૂબ માર મારે છે ક્લાસમાં પૂરી દે છે. જે બાદ પોતે મોબાઇલમાં હેન્ડસ ફ્રી રાખી ગીતો સાંભળે છે. જો ઘરે માતા - પિતાને ફરિયાદ કરીએ તો પૂરો દિવસ ક્લાસમાં ઊભા રાખી મુર્ગા બનાવે છે. આ ઉપરાંત અમે ઘરેથી નાસ્તો લઈ ગયા હોય તે ખાઈ જાય છે. અમારી પાસે માથું ઓળાવવાની સાથે તેલ પણ નંખાવે છે. બાળકોને ઢસડીને મારે છે. આ શબ્દો છે રાજકોટની કોઠારીયા સ્ટેશન સરકારી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીના. અહીં ધોરણ 1 થી 5 માં ભણતા 34 વિદ્યાર્થીઓને આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો છે. જેની રજૂઆત વાલીઓની સહીઓ સાથે આચાર્ય દ્વારા શાસનાધિકારી સમક્ષ 4 વખત કરવામાં આવી છે. આજે 25 ફેબ્રુઆરીએ 5 વાલી શિક્ષણ સમિતિ કચેરીએ શાસનાધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તેઓ હાજર ન હતા. જોકે તેમણે કહ્યું કે, શિક્ષિકાને નોટિસ આપી સુધરવાની તક આપી છે. જો હજુ પણ તેમની સામેની ફરિયાદ ચાલુ રહેશે તો શું એકશન લેવા તેનો નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે. કોઠારીયા સ્ટેશન પ્રાથમિક શાળાની ધોરણ 5 ની વિદ્યાર્થિનીએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, અમારી સ્કૂલના સ્નેહલ ટીચર અમને ખૂબ હેરાન કરે છે. તે શિક્ષક અમને બધાને બહુ મારે છે અને રૂમમાં પૂરી દે છે. જે બાદ પોતે ક્લાસની બહાર મોબાઇલમાં ગીતો સાંભળે અને વીડિયો જુએ છે. જે સ્કૂલના બાથરૂમમાં કપડા ચેન્જ કરે અને બાદમાં મેકઅપ કરતા હોય છે. સ્કૂલમાં બેઠા બેઠા ઓનલાઇન કપડા મંગાવે છે. આ ઉપરાંત અમારી પાસે માથામાં તેલ નખાવે અને માથું ઓળાવે છે અને હાજરી પૂરવાનું કહે છે. આ દીકરી વધુમાં જણાવે છે કે જો અમે અમારા માતા-પિતાને ફરિયાદ કરીએ તો તે દિવસે અમને આખો દિવસ ઊભા રાખે અને માર મારે છે. જ્યારે વાલી રસિકભાઈ ચારોલાએ જણાવ્યુ હતુ કે, મારી દીકરી નિત્યા કોઠારીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે અને મોટાભાઈનો દીકરો મોહિત પણ તે જ સ્કૂલમાં બાલવાટિકામાં અભ્યાસ કરે છે. આ સ્કૂલના શિક્ષિકા સ્નેહલબેન દવે વિદ્યાર્થીઓને ખૂબ ટોર્ચર કરે છે. ચાલુ ક્લાસે મોબાઇલમાં વિડીયો જુએ છે. આ શિક્ષિકા બાળકોને ખૂબ જ માર મારે છે અને રૂમમાં પૂરી દે છે. છેલ્લા બે મહિનાથી આ પ્રકારની હેરાન કરતી કરવામાં આવે છે. આ બાબતે સ્કૂલના આચાર્ય હેમલભાઈ મકવાણાને પણ રજૂઆત કરેલી છે. SIR એટલે કે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા દરમિયાન કોઠારીયા સ્ટેશન શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી અને તેથી તે વખતે શિક્ષકની જરૂરિયાત હોવાથી સ્નેહલબેનને અન્ય કોઠારીયા તાલુકા શાળામાંથી અહીં કોઠારીયા સ્ટેશન શાળામાં મૂકવામાં આવ્યા હતા. જોકે બાદમાં હવે આ શિક્ષિકાને તેમની મૂળ શાળામાં પરત લેવામાં આવી રહ્યા ન હોવાનું વાલીએ જણાવ્યુ હતુ. વાલીએ વધુમાં જણાવ્યું હતું કે, આ શિક્ષિકાને પોતાની જૂની સ્કૂલમાં જવું હોવાથી આ પ્રકારે વિદ્યાર્થીઓને હેરાનગતિ કરતા હોય તેવું લાગે છે. આ શિક્ષિકા વિદ્યાર્થીઓ પાસે ઘરેથી નાસ્તો મંગાવે છે જે પોતે ખાઈ જાય છે અને છોકરાઓ પાસે માથામાં તેલ નંખાવે છે. અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જેઠવા સરને રજૂઆત માટે આવ્યા છીએ. જ્યારે આ શાળાના શિક્ષિકા સ્નેહલબેન દવેનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હું બાળકોને મનોવૈજ્ઞાનિક રીતે ભણાવું છું. કોઇ પણ વિદ્યાર્થીઓને હું હેરાન કરતી નથી. ઈનોવેશન ફેરમાં પ્રોજેક્ટ રજૂ કરું છું. અગાઉ હું કોઠારીયા તાલુકા શાળામાં હતી જોકે તે વખતે SIR અંતર્ગત સ્ટેશન શાળામાં આચાર્ય અને શિક્ષક બંનેને બુથ લેવલ ઓફિસરની કામગીરી સોંપાઈ હોવાથી રિલિવર તરીકે મૂકવામાં આવી હતી. જોકે તેના 2 માસ બાદ પણ હજુ મને મૂળ શાળામાં લેવામાં આવી નથી. જેથી આ ખોટી રજૂઆત છે. આ બાબતે શાળામાં આચાર્ય હેમલ મકવાણાને પૂછતા તેમણે આ બાબતે કઈ પણ બોલવાનું ટાળ્યું હતું. જોકે સ્કૂલના આચાર્ય દ્વારા શિક્ષિકા સ્નેહલબેન વિરુધ્ધ વાલીઓની સહીઓ સાથેની રજૂઆત શિક્ષણ સમિતિને કરેલી છે અને શિક્ષિકાને તેમની મૂળ શાળામાં પરત મૂકવા માટે 4 વખત પત્ર લખવામાં આવેલો છે. જેમાં તેમણે લખ્યું છે કે, શિક્ષિકાની હેરાનગતિના કારણે શાળામાં ગેરહાજરીનું પ્રમાણ વધ્યું છે અને વિદ્યાર્થીઓ સરકારી શાળામાંથી LC લેવા માંગે છે. જેથી આ શિક્ષિકાને રિલિવરમાંથી દૂર કરવામાં આવે તેવી માંગણી છે. સ્કૂલમાં ધોરણ 1 થી 5 માં 34 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત શાસનાધિકારી રમેશ જેઠવાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કોઠારીયા સ્ટેશન શાળાના શિક્ષિકા સ્નેહલબેન સામે વિદ્યાર્થીઓને હેરાનગતિની ફરિયાદ મળતા તેમને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે અને સુધરવાની તક આપવામાં આવી છે. આ શિક્ષિકાનો અગાઉની કોઠારીયા તાલુકા શાળામાંથી પણ તેમને આ જે કારણોથી ટ્રાન્સફર કરવામાં આવી છે. જો હવે આગામી દિવસોમાં પણ શિક્ષિકા સામેની ફરિયાદ આવશે તો શું પગલાં લેવા તે બાબતે નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આવતીકાલ 26 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે જેમાં ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને 62,510 વિદ્યાર્થીઓ નોંધાયા છે, આજે 2 થી 5 દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ નંબર જોવા પહોંચ્યા હતા, બી.એમ. કોમર્સ હાઈસ્કૂલએ અરવિંદ સોલંકીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે આજે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ તમામ શાળાઓ ખુલ્લી છે જેમાં બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ પણ ખુલ્લી છે અને અત્યારે વિદ્યાર્થીઓ શાળાની અંદર પોતાના બેઠક વ્યવસ્થાના સંદર્ભમાં નંબર જોવા માટે આવે છે, શાળાનું વાતાવરણ જુવે છે અને સાથે સાથે આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખૂબ સફળતા મેળવે એવી શાળા પરિવાર વતી તમામને શુભકામનાઓ પણ પાઠવું છું, સ્વામિનારાયણ હાઈસ્કૂલના પ્રિન્સિપલ નીતા શુક્લાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને આજના દિવસે બપોરે 2:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધી બાળકોને નંબર જોવા માટેનો સમય આપેલો છે અને અત્યારે મોટાભાગે બાળકો જે છે એ નંબર જોવા માટે આવી રહ્યા છે, આવતીકાલથી શરૂ થતી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 37,501 વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 18,717 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6292 વિદ્યાર્થીઓ નોંધાયા છે ધો.10 માટે 132 બિલ્ડીંગ, 1254 બ્લોકમાં પરીક્ષા યોજાશે, તેવી જ રીતે ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે 31 બિલ્ડીંગ, 319 બ્લોક અને ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 69 બિલ્ડીંગ, 624 બ્લોકમાં પરીક્ષા યોજાશે, તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
નવસારી પોલીસે સાયબર ગુનાઓ રોકવા માટે કાર્યવાહી શરૂ કરી છે. નવસારી ટાઉન પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા દૂધિયા તળાવ ખાતે સીનિયર સિટીઝન્સ માટે વિશેષ સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિજિટલ ઠગાઈનો ભોગ બનતા વૃદ્ધોને સુરક્ષિત કરવાનો હતો. સાયબર ક્રાઈમના આંકડા દર્શાવે છે કે ટેકનોલોજીથી ઓછા માહિતગાર સીનિયર સિટીઝન્સ સાયબર ઠગો માટે સરળ નિશાન બને છે. નવસારીમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે, જેમાં વૃદ્ધો સાવચેતીને કારણે મોટી ઠગાઈનો ભોગ બનતા બચી ગયા હતા. આ અનુભવોને ધ્યાનમાં રાખીને, પોલીસે સીનિયર સિટીઝન્સને મોબાઈલના સુરક્ષિત ઉપયોગ અને વિવિધ પ્રકારના ફ્રોડ વિશે વિગતવાર માહિતી આપી હતી. જેમાં OTP ફ્રોડ, બેંક KYC અપડેટ અને અજાણી લિંક ફ્રોડનો સમાવેશ થાય છે. તેમને અજાણી લિંક પર ક્લિક ન કરવા અને ફોન પર કોઈને પણ અંગત બેંકિંગ વિગતો ન આપવા સમજાવવામાં આવ્યું હતું. સાંજના સમયે દૂધિયા તળાવ ખાતે મોટી સંખ્યામાં વડીલો ઇવનિંગ વોક માટે આવે છે. પોલીસે આ સમયનો સદુપયોગ કરી વડીલો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમને સાયબર સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા. નવસારી સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા માત્ર વડીલો જ નહીં, પરંતુ વિવિધ વિભાગો, શાળાઓ અને અલગ-અલગ વયજૂથના લોકો માટે પણ સમયાંતરે આવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. પોલીસની આ પહેલનો ઉદ્દેશ્ય નવસારીને સાયબર ક્રાઈમ મુક્ત બનાવવાનો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી હવે મે મહિનાના મધ્યકાળમાં યોજાઈ શકે છે તેવી શકયતા પ્રબળ બની રહી છે. અંતિમ મતદાર યાદી તૈયાર થઈ જતાં ચૂંટણી યોજવા માટેનો માર્ગ હવે લગભગ મોકળો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે મતદાન પ્રક્રિયા મે મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. કર્મચારી નિમણૂંક અને EVMની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મતદાન મથકોની યાદી, કર્મચારીઓની નિમણૂંક તથા ઈવીએમ મશીનોની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવનાઅંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ રાજકીય પક્ષોમાં પણ સક્રિયતા વધી ગઈ છે. સંભવિત ઉમેદવારો દ્વારા તજવીજ શરૂ થઈ ગઈ છે અને તાલુકા-જિલ્લા કક્ષાએ બેઠકોનો દોર તેજ બન્યો છે. ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે. આ ચૂંટણી ગ્રામ્ય અને શહેરી સ્તરે રાજકીય સમીકરણોને અસર કરશે અને આવનારા સમયમાં રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
મોરબીના ઘૂટું રોડ પર દબાણ હટાવાયા:મનપાએ 25થી વધુ દુકાનો-ઓરડીઓ તોડી પાડી
મોરબીના ઘૂટું રોડ પર બુધવારે મોરબી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં રોડ સાઈડ પર આવેલી અંદાજે 25થી વધુ દુકાનો અને ઓરડીઓને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી હતી, જેનાથી દબાણમુક્ત કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ સાઈડના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગત બુધવારે ત્રાજપર ચોકડી પાસે પણ કાચા-પાકા દબાણો અને કેબિનો હટાવીને રોડ સાઈડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આજે ઘૂટું રોડ પરની કાર્યવાહી નગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી. જેમાં અંદાજે 15 પાકી દુકાનો અને 10 કાચી-પાકી દુકાનો તથા ઓરડીઓ સહિત કુલ 25થી વધુ દબાણો પર બુલ્ડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ મોરબીના અન્ય વિસ્તારોમાં આવી જ કામગીરી ચાલુ રહેશે. રોડ સાઈડ પર કે નગરપાલિકાની માલિકીની જગ્યા પર કોઈપણ પ્રકારનું દબાણ હશે તો તેને દૂર કરવામાં આવશે.
બોટાદમાં ST ડ્રાઇવર પર થયેલા હુમલા બાદ ST કર્મચારી સંકલન સમિતિ અને અન્ય સંગઠનો દ્વારા આજે અધિક કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા રીક્ષા એસોસિએશને પણ આ આવેદનને સમર્થન આપ્યું છે. આ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હુમલાખોરો સામે તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાથી ST કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.બોટાદ જિલ્લા રીક્ષા એસોસિએશનના પ્રમુખ દિલીપ મહારાજે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેઓ ગુનાહિત માનસિકતા ધરાવતા રીક્ષાચાલકોને કોઈપણ ભોગે છાવરશે નહીં. તેમણે આવા અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવા અને તેમને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી. વધુમાં, તેમણે ખાતરી આપી હતી કે રીક્ષા ચલાવવાના બહાને અસામાજિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ અને નશો કરીને રીક્ષા ચલાવતા ડ્રાઇવરોને ઓળખી કાઢી તેમની સામે કાર્યવાહી કરવામાં બોટાદ પોલીસને રીક્ષા એસોસિએશન સંપૂર્ણ સહકાર આપશે.
વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે (25 ફેબ્રુઆરી)ના રોજ વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામે ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. બોર્ડના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા), વાઇસ ચેરમેન જી.બી.સોલંકી, છોટા ઉદેપુર બેઠકના સંગ્રામ રાઠવા સહિતના આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. 1071 મતદારો ભાવિ નક્કી કરશેબરોડા ડેરીના બોર્ડ માટે 1071 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આ મતદારો નવા બોર્ડ માટે મતદાન પ્રક્રિયામાં જોડાશે. 26 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે તો 28 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. પાદરાના ભાસ્કર પટેલના દિનુમામા પર ગંભીર આક્ષેપપાદરા APMCના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે પણ દિનુમામા સામે ઉમેદવારી નોંધાવી છે. તેઓ થોડા મહિનાઓ અગાઉ ધાબડામાં સંતાઈને કોઈના ઘરમાંથી બહાર નીકળતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ ઘટના ચૂંટણીમાં ઇફેક્ટ કરશે કે કેમ તે અંગે પૂછતા તેઓએ દિનુમામા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ સિનેમામાં ચારિત્ર્ય પર પણ આંગળી ચીંધી હતી અને તેઓ પણ દૂધે ધોયેલા નથી તેમ તેઓએ જણાવ્યું હતું. તેઓએ એમ પણ આક્ષેપ કર્યા હતા કે, તેઓ સામે જે પડે છે તેઓને બદનામ કરવાનો કારસો દિનુમામા કરે છે. દિનુમામા ઉમેદવારીપત્ર ભર્યા બાદ તેઓ તરત જ સ્થળ પરથી નીકળી ગયા હતા. જોકે, આ આક્ષેપ અંગે દિનુમામાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ છઠ્ઠી વખત ફોર્મ ભર્યુંબરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જી. બી. સોલંકી દ્વારા સતત છઠ્ઠી વખત ઉમેદવારી પત્ર ભર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, આ વખતે પણ મતદારો અમારા પર વિશ્વાસ મૂકશે. અમે બરોડા ડેરી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોના હિત માટે તેમજ ડેરીના વિકાસ માટે હંમેશા કટિબધ્ધ છે. પેનલમાં સમાવેશ કરવામાં નહી આવે તો બળવાના એંધાણબરોડા ડેરીમાં ભાજપ પ્રેરિત પેનલ ચૂંટાય તે માટે આજે સાંજે નિરીક્ષકો આવશે. તે બાદ ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવશે. જોકે, પેનલમાં સમાવેશ નહી થાય તો બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ભાજપમાંથી મેન્ડેડ નહીં આવે તો ભાજપના જ કેટલાક ઉમેદવારો અપક્ષ લડવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે. ડેરીની મારી છેલ્લી ચૂંટણી: દિનુમામાઉમેદવારીપત્ર ભર્યા બાદ પાદરા પંથકમાં દિનુમામાએ એક જાહેર સભા સંબોધી હતી. તેમાં તેઓએ જાહેરાત કરી હતી કે, આ ચૂંટણી એ ડેરીની મારી અંતિમ ચૂંટણી છે. મેં અગાઉ વિધાનસભાની ચૂંટણી નહીં લડું એવી પણ જાહેરાત કરી છે. જો આ વખતે મને નેતૃત્વ નહી મળે અને ખાલી ડિરેક્ટર હોઈશ તો પણ પાદરા તાલુકાના દૂધ ઉત્પાદકો માટે લડત આપતો રહીશ.
રાજ્યના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જેને પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠામાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવનાહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે.દાસના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને પૂર્વ પટ્ટીના જિલ્લાઓ જેવા કે અરવલ્લી અને સાબરકાંઠામાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ કમોસમી વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયોવરસાદની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતા 5 ડિગ્રી જેટલું વધારે છે. રાજકોટવાસીઓ અત્યારથી જ ધોમધખતા ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ, રાજ્યના પાટનગર અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે પણ પડકારજનક બની શકે છે. માર્ચ મહિનાની શરૂઆતે જ ખરી ગરમી પડે તેવી શક્યતાજોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ કમોસમી વરસાદની સ્થિતિ લાંબો સમય નહીં ટકે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, આવતીકાલે એટલે કે 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. આગામી 7 દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, એટલે કે ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, પરંતુ તેમાં મોટો ઉછાળો જોવા મળશે નહીં. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળામાં ખરી ગરમી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.
વડોદરાના યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ રોજગાર નિયામકની કચેરી દ્વારા તરસાલી સ્થિત ITI કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને ઘરઆંગણે રોજગારી અને કૌશલ્ય વર્ધનની ઉત્તમ તકો પૂરી પાડવાનો હતો. આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાના 11 જેટલા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ કંપનીઓ દ્વારા વિવિધ ટેકનિકલ અને બિન-ટેકનિકલ ક્ષેત્રની કુલ 239 જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેળામાં SSC, HSC, ITI, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ (B.Com/B.B.A./B.Sc.) શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષની વયના આશરે 150 જેટલા ઉત્સાહી મહિલા અને પુરુષ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સઘન ઇન્ટરવ્યુ અને પસંદગી પ્રક્રિયાના અંતે કુલ 101 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જેમાં 72 ઉમેદવારોને સીધી રોજગારી માટે, 15 ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે અને 14 ઉમેદવારોને ફ્રી સ્કિલ તાલીમાર્થી તરીકે પસંદગી કરાઈ છે ભરતી મેળાની સાથે સાથે ઉમેદવારો માટે વિશેષ માર્ગદર્શન શિબિર અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ અને EPFO કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસર દ્વારા 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ મળતા લાભો અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી યુવાનોને વાકેફ કરવામાં આવ્યા હતા. રોજગાર કચેરીના કાઉન્સેલરો દ્વારા યુવાનોને કારકિર્દી ઘડતર માટે આધુનિક અભિગમ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. સરકારી ડિજિટલ પ્લેટફોર્મ પર નામ નોંધણી કરાવી નોકરીની શોધ કેવી રીતે સરળ બનાવવી તેનું ટેકનિકલ માર્ગદર્શન અપાયું.વિદેશમાં રોજગારી મેળવવા ઈચ્છતા ઉમેદવારોને સુરક્ષિત અને કાયદેસરની પદ્ધતિઓ સમજાવવામાં આવી. લોન સહાય યોજનાઓ અને ફ્રી વોકેશનલ ટ્રેનિંગ દ્વારા પોતે જ ઉદ્યોગસાહસિક બનવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (S.S.C.) અને ધોરણ 12 (H.S.C.) સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમિયાન યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 87,609 વિદ્યાર્થીઓ 122 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ, નિર્ભય અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. વિગતવાર માહિતી અનુસાર, ધોરણ 10 માટે જિલ્લામાં 68 કેન્દ્રો પર 50,746 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 46 કેન્દ્રો પર 30,661 અને વિજ્ઞાન પ્રવાહ માટે 8 કેન્દ્રો પર 6,202 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે S.S.C.માં 5 ઝોન અને H.S.C.માં 2 ઝોન બનાવી દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે હેતુથી તમામ કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ, સીસીટીવી દેખરેખ અને તજજ્ઞો દ્વારા કાઉન્સેલિંગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે હોલ ટિકિટ સાથે સમયસર કેન્દ્ર પર હાજર રહેવા અને કોઈપણ પ્રકારની ઉતાવળ કે ગેરસમજ ટાળવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા જરૂરી માહિતી પૂરી પાડવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાલનપુર ખાતે સવારે 7:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. આ કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર (02742) 257055 છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પરીક્ષાર્થીઓને તેમની ઉજ્જવળ સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
મોરબીમાં 300થી વધુ વીજ જોડાણ કટ:5 હજાર ગ્રાહકો પાસેથી 6 કરોડની વસૂલાત માટે કાર્યવાહી
મોરબી જિલ્લામાં વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે PGVCL દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત બપોર સુધીમાં 300 થી વધુ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. PGVCL 5,000 ગ્રાહકો પાસેથી કુલ 6 કરોડ રૂપિયાની વસૂલાત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ડ્રાઇવ માટે PGVCLની 210 ટીમો સવારથી જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. મોરબી સર્કલ ઓફિસ હેઠળના 12 સબડિવિઝનમાં બાકી બિલ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાક ગ્રાહકોએ સ્થળ પર જ બાકી બિલની ચુકવણી કરતા તેમના જોડાણ કાપવામાં આવ્યા ન હતા. મોરબી PGVCLના એકાઉન્ટ્સ અધિકારી અશ્વિન વસૈયા પાસેથી મળતી માહિતી મુજબ, આજના દિવસ માટે કુલ 5,000 વીજ કનેક્શન બાકી બિલની વસૂલાત માટે ઓળખવામાં આવ્યા છે. આ ગ્રાહકો પાસેથી કુલ 6 કરોડ રૂપિયાની રિકવરી કરવાની છે. આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ આગામી 31મી માર્ચ સુધી ચાલુ રહેશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી રાજ્યભરમાં પરીક્ષાનો પ્રારંભ થશે. અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા કુલ 48 કેન્દ્રો પર યોજાશે. આ પરીક્ષામાં ધોરણ 10ના 19,500 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સના 1,635 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 10,400 વિદ્યાર્થીઓ ભાગ લેશે. જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે કેટલાક કેન્દ્રો પર વર્ગ-1 અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, તમામ સેન્ટરો પર પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશનની સુવિધા અને ઇમરજન્સી જરૂરિયાત માટે પીએચસી સેન્ટરના સંપર્ક નંબરો પણ ઉપલબ્ધ કરાવાયા છે, જેથી આરોગ્ય વિભાગની મદદ તાત્કાલિક મેળવી શકાય. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જિલ્લા પોલીસ વડા, DYSP, PI અને PSI સહિતના અધિકારીઓને આ અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય અને તેઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે. બોર્ડની પરીક્ષા શરૂ થતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રથી 100 મીટર ત્રિજ્યામાં આવેલી ઝેરોક્ષ અને ફેક્સની દુકાનો પર ઝેરોક્ષ તથા ફેક્સ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 100 મીટરના વિસ્તારમાં ત્રણથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ સજાપાત્ર બનશે. અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.બી.ગોહિલએ દિવ્યભાસ્કરને કહ્યુ જિલ્લામાં 10મામાં બે ઝોન છે, એક અમરેલીમાં અને એક સાવરકુંડલામાં. 12મામાં પણ બે ઝોન છે, એક અમરેલી અને એક સાવરકુંડલા,એમ કુલ ચાર ઝોન છે. કુલ આપણા અમરેલી જિલ્લામાં 48 કેન્દ્રો છે.પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યાધોરણ 10: 19,500 વિદ્યાર્થીઓધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): 1,635 વિદ્યાર્થીઓધોરણ 12 (સામાન્ય પ્રવાહ): 10,400 વિદ્યાર્થીઓતમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે. તમામ ઓર્ડરો થઈ ગયા છે. તકેદારીના ભાગરૂપે અમુક કેન્દ્રોમાં ક્લાસ 1 અને 2 ના અધિકારીઓની નિમણૂક પણ થઈ ગઈ છે. તમામ જાહેરનામા પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરીતમામ સેન્ટરો ઉપર પીવાના પાણીની અને સેનિટેશનની પૂરતી વ્યવસ્થા અમે ચેક કરાવી લીધી છે, જે ઓકે છે. તમામ સેન્ટરોની નજીકના PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટરોના નંબર અમે સ્કૂલોને અને સેન્ટરોને પહોંચતા કર્યા છે, જેથી ઈમરજન્સીના કેસમાં આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકાય.સાથે-સાથે અમે બાળકો માટે મનોવૈજ્ઞાનિકોના નંબર ડિસ્પ્લે કર્યા છે. કોઈ બાળકને ઈમરજન્સીમાં મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનની જરૂરિયાત પડે તો તે ફોન કરી શકે છે. તમામ વ્યવસ્થાઓ બાળકો માટે પરિપૂર્ણ કરવામાં આવી છે.
પાટણ પાલિકા કારોબારીમાં દબાણ મુદ્દે ઘર્ષણ:₹21.74 કરોડનું ખાધ બજેટ મંજૂર, 23 કામોની ચર્ચા કરાઈ
પાટણ નગરપાલિકાના સભાખંડમાં કારોબારી સમિતિના ચેરમેન મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વર્ષનું ₹21.74 કરોડનું ખાધવાળું બજેટ અને વિકાસલક્ષી 23 કામોને ચર્ચા કરવામાં આવશે . જોકે, બેઠકની શરૂઆત પૂર્વે જ શહેરના દબાણો હટાવવા બાબતે ચીફ ઓફિસરની નીતિ સામે શાસક પક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ કારોબારી બેઠક અગાઉ 21 તારીખે નિર્ધારિત હતી, પરંતુ ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. બેઠકમાં એજન્ડા પરના 11 કાયદેસરના કામો અને અન્ય 12 વધારાના કામો સહિત કુલ 23 મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સમિતિએ ₹21.74 કરોડના ખાધવાળા બજેટને બહાલી આપી તેને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત, શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવો ટાઉન હોલ બનાવવાની સભ્યોની રજૂઆતને ધ્યાનમાં રાખીને, આ પ્રસ્તાવને પણ આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો હતો. દબાણના મુદ્દે શાસક પક્ષના સભ્યોએ ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સભ્યોએ જણાવ્યું હતું કે, દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવી રહી છે. ગરીબ લોકોના દબાણો તાત્કાલિક દૂર કરાય છે, જ્યારે વગદાર લોકોના દબાણો સામે કોઈ કાર્યવાહી થતી નથી. ખાસ કરીને, મામલતદાર કચેરીની બહાર પાર્કિંગની જગ્યામાં થયેલા દબાણો દ્વારા ગેરકાયદેસર ભાડું વસૂલવામાં આવતું હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું હોવાનો રોષ વ્યક્ત કરાયો હતો. સભ્યોએ ભેદભાવ વિના મામલતદાર ઓફિસ પાસેના દબાણો દૂર કરી તે જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરવાની માંગ કરી હતી. કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કારોબારી સભ્ય દેવચંદભાઈ પટેલની રજૂઆત બાદ તમામ સભ્યોએ સર્વાનુમતે ખાધવાળું બજેટ મંજૂર કરી તેને આગામી સામાન્ય સભામાં મોકલી આપ્યું છે.
ભરૂચના પોલીસ ભરતી મેદાનમાં ફરજ બજાવી રહેલા મહિલા પીએસઆઈ પર એક ઉમેદવારે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. મેડિકલ તંબુ પાસે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હુમલાખોર યુવકને ઝડપી પાડ્યો છે. અશ્લીલ ભાષા અને ઉશ્કેરાટભર્યું વર્તન પોલીસની M.O.B. શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ ઇલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયાની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ દરમિયાન દર્શીત જયદેવ ગઢવી નામનો ઉમેદવાર અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને અશ્લીલ ભાષાનો પ્રયોગ કરી હોબાળો મચાવ્યો હતો. મેદાનમાં શિસ્ત જાળવવા માટે પીએસઆઈએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોલર પકડી તમાચો માર્યો શાંતિ રાખવાની સલાહ આપતા જ ઉમેદવાર વધુ આક્રમક બન્યો હતો. તેણે મહિલા પીએસઆઈનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં તમાચો મારી દીધો હતો. એટલું જ નહીં, પીએસઆઈનો હાથ પકડી તેમને નીચે પછાડી દેતા ઈજાઓ પહોંચી હતી. આ હિંસક વર્તનને કારણે મેદાનમાં હાજર અન્ય ઉમેદવારો અને પોલીસ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. પોલીસ કાર્યવાહી અને ફરિયાદ ઘટના સ્થળે હાજર અન્ય પોલીસકર્મીઓએ તાત્કાલિક દખલગીરી કરી હુમલાખોર દર્શીત ગઢવીને કાબૂમાં લીધો હતો. આ મામલે ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ગાંધીનગર ખાતે હરે કૃષ્ણ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર રાજ્યની રાજધાનીમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જાગૃતિનું નવું કેન્દ્ર બનશે. આ સેન્ટરનો મુખ્ય હેતુ ભગવદ્-ગીતાના ઉપદેશો, વૈદિક સંસ્કૃતિ, કીર્તન, યુવા માર્ગદર્શન અને મૂલ્ય આધારિત આધ્યાત્મિક શિક્ષણનો પ્રસાર કરવાનો છે. ઉદ્ઘાટન પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર, મહા આરતી, ભક્તિમય કીર્તન અને ભગવદ્-ગીતા પાઠ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે (IAS), ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નરેશભાઈ વેદ અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી (નિવૃત્ત IAS) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલની પ્રશંસા કરી હતી. ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજના અધ્યક્ષ જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું હતું કે, ગાંધીનગરનું આ હરે કૃષ્ણ સેન્ટર પરિવારો, યુવાનો અને આધ્યાત્મિક જિજ્ઞાસુઓ માટે શાંતિ અને સંસ્કારનું કેન્દ્ર બનશે. ભગવદ્-ગીતા અને હરિનામ સંકીર્તન દ્વારા સમાજમાં સૌહાર્દ અને નૈતિક મૂલ્યો મજબૂત કરવાનો અમારો સંકલ્પ છે. કાર્યક્રમનું સમાપન પ્રસાદ વિતરણ સાથે થયું હતું.
હિંમતનગરની દરબારી વાવમાં કચરો, પાર્કિંગમાં લારીઓ:₹33 લાખના ખર્ચે પુનરોદ્ધાર બાદ પણ સ્થિતિ યથાવત્
હિંમતનગરના ટાવર ચોકમાં આવેલી પૌરાણિક દરબારી વાવના ₹33 લાખના ખર્ચે પુનરોદ્ધાર કાર્યક્રમ યોજાયાના થોડા દિવસો બાદ પણ તેની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. વાવમાં શાકભાજીનો કચરો ઠલવાઈ રહ્યો છે અને તેના પ્રવેશદ્વાર પર શાકભાજી વિક્રેતાઓનો કબજો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ટાવર ચોકમાં પાલિકા દ્વારા વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં, પાર્કિંગ સ્થળ પર લારીઓ ઊભી રહે છે અને ત્યાં શાકભાજી સહિતનો વેપાર થાય છે. જેના કારણે વાહનચાલકોને રસ્તા પર અથવા રેલવે ઓવરબ્રિજ પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી રહી છે. પાલિકા દ્વારા દરબારી વાવના પુનરોદ્ધારનો કાર્યક્રમ યોજાયો ત્યારે વાવ સ્વચ્છ હતી અને પાર્કિંગમાં માત્ર વાહનો જોવા મળતા હતા. જોકે, કાર્યક્રમ પૂરો થયા બાદ પરિસ્થિતિ ફરીથી બગડી ગઈ છે, જે પાલિકાની નિષ્ફળતા દર્શાવે છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દરબારી વાવની સુધારણાનું કામ હોળી બાદ શરૂ કરવામાં આવશે. તેમણે કાર્યક્રમ બાદની વર્તમાન પરિસ્થિતિ અંગે તપાસ કરાવવાની ખાતરી પણ આપી હતી.
તા. ૨૬થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પૂર્વે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, પરીક્ષામાં હવે શું થશે તેની ચિંતા છોડી દેવી જોઈએ. સખત મહેનતનું ફળ ભગવાન અવશ્ય આપશે તેવો વિશ્વાસ રાખીને પરીક્ષા આપવી જોઈએ. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના ત્રણ મુખ્ય પાયા છે: દ્રઢ સંકલ્પ, દ્રઢ પુરુષાર્થ અને આત્મવિશ્વાસ. સારા ગુણ મેળવવા માટે પ્રચંડ પુરુષાર્થ કરવો અનિવાર્ય છે, પરંતુ ચિંતા સહેજ પણ ન કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ રાખવાની અને પરીક્ષાનો ભય દૂર કરવાની જરૂર છે. ભયને ભગાડી નિર્ભય રહો, હિંમત રાખી હસતા રહો. વર્ષ દરમિયાન કરેલી મહેનત પછી ભગવાનને પ્રાર્થના કરીને લખશો, તો શ્રી સ્વામિનારાયણ ભગવાન અવશ્ય સફળતા અપાવશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ માતાપિતાને માર્ગદર્શન આપતા કહ્યું કે, બોર્ડની પરીક્ષાના સમયે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમને વધુ ગુણ લાવવા માટે દબાણ ન કરવું જોઈએ. પોતાની ઈચ્છા પ્રેમથી સમજાવવી જોઈએ, પરંતુ હઠાગ્રહ ન રાખવો. સંતાનોને હિંમત આપવી જોઈએ. જો કોઈ સંતાન પરીક્ષાના કારણે હતાશામાં આવી ગયું હોય, તો તેને હિંમત આપવી જોઈએ કે, ચિંતા ન કર. ભગવાન બધું જ સારું કરશે. આ પરીક્ષા કોઈ અંતિમ પરીક્ષા નથી. એક વખત કદાચ નિષ્ફળ જઈશ તેથી કંઈ જિંદગી નિષ્ફળ જતી નથી. જીવન અમૂલ્ય છે. જીવન છે તો પરીક્ષા તો પછી પણ આવશે. ઓછા ગુણ આવશે કે નાપાસ થવાશે, તો બીજી વખત પ્રયત્ન કરીશું. જીવનમાં પરીક્ષા જ બધું નથી.
સ્વિફ્ટ કારચાલકે સાઈકલ સવારને ટક્કર મારી:માથામાં ગંભીર ઈજાથી મોત, વરતેજ જી.ઈ.બી. ઓફિસ સામે અકસ્માત
ભાવનગરના વરતેજ ગામના આંબાવાડી વિસ્તારમાં રહેતા 57 વર્ષીય શ્રમિક ગતરાત્રીના કામ પરથી સાઇકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન સ્વિફ્ટ કારના ચાલકે પાછળથી ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે. બનાવ અંગે વરતેજ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કારચાલકે પાછળથી ટક્કર મારતા રોડ પર પટકાયોમળતી માહિતી મુજબ, વરતેજના આંબાવાડી વિસ્તારમાં રહેતા શ્યામબાઈ સંતોષકુમાર રામધાની દહીયાએ ફરિયાદ નોંધાવી છે કે, ગતરાત્રી(24 ફેબ્રુઆરી)ના તેના પતિ સંતોષકુમાર રામધાની દાહીયા ઉ.વ 57 જેઓ વરતેજ જી.આઈ.ડી.સી.માં મજૂરી કામ પૂરું કરી સાયકલ પર ઘરે આવી રહ્યા હતાં. ત્યારે વરતેજ જી.ઈ.બી. ઓફિસ સામે હાઈવે રોડ ક્રોસ કરતી વેળાએ ભાવનગર તરફથી આવતી સ્વિફ્ટ કારચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતાં. માથામાં ગંભીર ઈજા થતાં મોત કારચાલક અકસ્માત સર્જી કાર સ્થળ પર મૂકી નાસી ગયો હતો, જ્યારે તેના પતિને માથામાં ગંભીર ઈજા થતાં તેમને ખાનગી વાહન દ્વારા વરતેજ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. કારચાલક સામે ગુનો નોંધાયોમૃતકની પત્નીની ફરિયાદના અનુસંધાને વરતેજ પોલીસે સ્વિફ્ટ કાર GJ-03-LG-8918 ચાલક સામે BNS 106(1), 281, 125(a),125(b) તેમજ મોટર વાહન અધિનિયમ 177, 134 અને 184 મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક અને સાહસિક મેગા ડીમોલીશન પૂર્ણ કરવામાં આવ્યું છે. તા.23 અને 24 ફેબ્રુઆરી દરમિયાન સતત બે દિવસ ચાલેલી સઘન કામગીરીમાં નગર રચના યોજના 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ (બાપુનગર થી નાડોદાનગર) અને આજી નદીના પટ વિસ્તારમાં પથરાયેલા કુલ 1,489 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કામગીરી દ્વારા અંદાજે રૂ. 350 કરોડની બજાર કિંમત ધરાવતી કુલ 88,750 ચો.મી. જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. ડિમોલિશનનું આ મેગા ઓપરેશન આજે પૂર્ણ થયાનું મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ જાહેર કર્યું હતું. તેમજ આ ઓપરેશનની મહત્વની વિગતો આપી હતી. ભૌગોલિક પડકારો અને પૂર નિયંત્રણની અનિવાર્યતા મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું કે, જંગલેશ્વરનો આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત જટિલ અને સંવેદનશીલ છે. અહીં આજી નદી અને ખોખડદડી નદીના પ્રવાહ એકબીજાને મળે છે. ચોમાસા દરમિયાન જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને આજી ડેમ છલકાય ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં રીતસરની જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ભૂતકાળમાં વર્ષ 2024માં સ્થિતિ એટલી વિકટ બની હતી કે 1,378 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા. અને 370 લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ કરવું પડ્યું હતું. તે સમયે રેસ્ક્યુ કરવા ગયેલા અધિકારીઓ પોતે જ ફસાઈ જતા અંતે NDRFની ટીમ બોલાવવી પડી હતી.આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને કારણે પૂરના સમયે એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર કે પોલીસના વાહનો અંદર સુધી પ્રવેશી શકતા નહોતા. લોકોના જાન-માલની સુરક્ષા અને ભવિષ્યમાં પૂર નિયંત્રણની કામગીરી સરળ બને તે હેતુથી આ 15 મીટરનો ટી.પી. રોડ ખુલ્લો કરવો અનિવાર્ય બની ગયો હતો. કાનૂની પ્રક્રિયા અને વહીવટી મક્કમતા તંત્ર દ્વારા આ કાર્યવાહી સીધી રીતે કરવામાં આવી નથી, પરંતુ યોગ્ય કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવી હતી. તમામ દબાણકર્તાઓને ‘ધી જી.પી.એમ.સી. એક્ટ, 1949’ ની કલમ-260(1) હેઠળ નોટિસો ફટકારવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓએ અનેકવાર સ્થળ પર જઈને લોકોને સમજાવ્યા હતા કે આ બાંધકામો જોખમી છે. તેમ છતાં આસામીઓ દ્વારા કોઈ પગલાં ન લેવાતા, આખરે કલમ-260(2) હેઠળ આખરી હુકમ કરીને ડિમોલીશનનો નિર્ણય લેવાયો હતો. એટલું જ નહીં ડિમોલિશન પૂર્વે સતત ત્રણેક દિવસ મનપાની ટીમો દ્વારા લોકોને સામાન ફેરવવા માટેની વ્યવસ્થા નિઃશુલ્ક કરી દેવામાં આવી હતી. ડીમોલીશનના આંકડાકીય વિગતો * કુલ ખુલ્લી થયેલ જમીન: 88,750 ચો.મી. (જેમાં ટી.પી. રોડની 33,750 ચો.મી. અને નદી પટની 55,000 ચો.મી. જમીનનો સમાવેશ થાય છે). * દબાણોની સંખ્યા: કુલ 1,489 બાંધકામો તોડી પડાયા (જેમાં ટી.પી. રોડના 497 અને નદીકાંઠાના 992 બાંધકામો હતા). * જમીનની અંદાજીત કિંમત: રૂ. 350 કરોડની કિંમતી જમીન હવે સરકારી રેકોર્ડ પર ખુલ્લી થઈ છે. અભૂતપૂર્વ મેનપાવર અને ટેકનોલોજીનો સમન્વય આટલા મોટા પાયે ઓપરેશન પાર પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ તેની તમામ શક્તિઓ જોતરી દીધી હતી. આ કામગીરીમાં કુલ 1,512 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની સાથે જ વિજિલન્સનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જેમાં 261 જેટલા જેસીબી, લોડર અને અન્ય ભારે મશીનોનો ઉપયોગ થયો. તેમજ કુલ 33,264 માનવ કલાકો ઉપરાંત 5,742 મશીનરી કલાકોના સતત કાર્ય બાદ આ વિસ્તાર મેદાનમાં ફેરવાઈ ગયો હતો. હાલમાં ડિમોલીશન પૂર્ણ થયા બાદ હજારો ટન કાટમાળ દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી આગામી ચોમાસા પહેલા નદીનો પટ અને માર્ગ સંપૂર્ણ સાફ થઈ જાય. રી-હેબીલીટેશન અને સામાજિક પાસું રાજકોટ મહાપાલિકા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આવાસની યોજનાઓ પણ અમલમાં છે. રાજકોટમાં અત્યાર સુધી 37,000 આવાસોનું નિર્માણ થયું છે, જેમાંથી જંગલેશ્વર વિસ્તારના 873 પરિવારોને પહેલેથી જ આવાસ ફાળવી દેવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ ડિમોલીશન દરમિયાન જાણવા મળ્યું કે ઘણા દબાણો સામાન્ય ઝૂંપડા નહોતા. અંદાજે 200 મકાનો આધુનિક એલીવેશન ધરાવતા હતા, જ્યારે 750 થી વધુ મકાનો રૂ. 5 લાખથી વધુની કિંમતના અને 250 જેટલા મકાનો તો રૂ. 15 થી 20 લાખની કિંમતના આલીશાન બાંધકામો હતા. આ ઉપરાંત 250 જેટલી ઓરડીઓ માત્ર ભાડે આપી કમાણી કરવાના આશયથી બનાવવામાં આવી હતી. હજારો નાગરિકોને ચોમાસામાં ભયનાં ઓથાર હેઠળ રહેવું નહીં પડે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ દાવો કર્યો હતો કે, અગાઉ આ સ્થળે ઇમરજન્સીનાં સમયમાં મદદ પહોંચાડવામાં પણ અનેક મુશ્કેલીઓ પડતી હતી. આ ડીમોલીશનથી જંગલેશ્વર, લલુડી વોકળી, રૂખડિયાપરા અને એકતા કોલોની જેવા વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોને હવે ચોમાસામાં ભયના ઓથાર નીચે જીવવું નહીં પડે. રોડ ખુલ્લો થતા જનસુખાકારી અને સુરક્ષામાં મોટો વધારો થશે. તેની સાથે-સાથે ગુનાખોરી ઉપર અંકુશ મેળવવામાં પણ મોટી મદદ મળી શકશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા આ સ્પેશિયલ ઓપરેશન અંગે ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ અને મનપા વચ્ચે પ્રથમ દિવસથી જ સંકલન જાળવવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય ટાર્ગેટ કોઈપણ પ્રકારના સંઘર્ષ વગર શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન કરવાનો હતો, જેના માટે અગાઉથી જ લોક દરબાર, શાંતિ સમિતિ અને મહોલ્લા સમિતિ સાથે બેઠકો યોજવામાં આવી હતી. અગાઉ આ વિસ્તારમાં PGVCL ના કર્મચારીઓ પણ અંદર જઈ શકતા ન હતા, પરંતુ આ વખતે કોઈની લાગણી ન દુભાય અને ધાર્મિક કે પ્રાદેશિક રીતે કોઈ તકલીફ ન પડે તેવા ઉમદા ઉદ્દેશ સાથે કામગીરી હાથ ધરાઈ હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મહિલા પોલીસ કર્મીઓ અને અન્ય અધિકારીઓની સંખ્યા પણ મોટી સંખ્યામાં રાખવામાં આવી હતી. વધુમાં હેતલ પટેલે જણાવ્યું હતું કે, જંગલેશ્વરની આ ઓરડીઓ અસામાજિક તત્વોનું આશ્રયસ્થાન બની ગઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચે ભૂતકાળમાં પકડેલી ગેંગ માટે પણ આ વિસ્તાર સુરક્ષિત ઠેકાણું હતું. આરોપીઓ આ ઓરડીઓ ભાડે આપીને આખું રેકેટ ચલાવતા હતા અને તેમાંથી ભાડાની જેટલી આવક થતી હતી, તેનો ઉપયોગ વ્યાજવટાવ સહિતના ધંધામાં કરવામાં આવતો હતો. આ ડિમોલિશનથી ગુનાખોરીની આ આખી ચેનલ હવે તૂટી જશે. આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો-વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સતત ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
આસારામ આશ્રમ દ્વારા કલેકટરના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં સિંગલ જજે કલેકટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો. તેની સામે આશ્રમ દ્વારા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર લંબાણપૂર્વક સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. જ્યાં સુધી ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી આશ્રમ વિરુદ્ધ નકરાત્મક પગલાં નહીં લેવા કોર્ટે આદેશ કર્યા છે. સમયાંતરે આસારામ દબાણ કરતો રહ્યોઅગાઉ ગુજરાત સરકારે આસારામને આશ્રમ બનાવવા જમીન આપી હતી. જમીન આશ્રમશાળા અને બિન નફાકારક હેતુ અને બાંધકામ પહેલા પૂર્વ મંજૂરીની શરતો સાથે આપી હતી. સમયાંતરે આસારામ આજુબાજુની જમીન ઉપર પૂર્વ મંજૂરી વગર બાંધકામ કરીને દબાણ કરતો રહ્યો, પછી રેગ્યુલાઈઝની ફી ભરીને તેને અધિકૃત કરાવતો રહ્યો. શરત ભંગ થતાં જમીન પરત લેવા કલેક્ટરનો નિર્ણયઆ બાબતે કલેક્ટરે કહ્યું હતું કે શરતો પૈકી નફાકારક કામ નહીં કરવાની શરત છતાં ત્યાં જુદી જુદી વસ્તુઓનું વેચાણ થતું, બાંધકામ કરવા કોઈ પૂર્વ મંજૂરી લેવાઈ નહોતી. જેથી જમીન આપતી વખતે જે શરતો મુકાઈ હતી તેના ભંગ બદલ જમીન પરત લેવા નિર્ણય કર્યો છે. આ જમીન 33 હજાર સ્ક્વેર મીટર જેટલી છે.
જૂનાગઢ શહેર ભાજપમાં ચાલી રહેતી આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે. પૂર્વ યુવા ભાજપ પ્રમુખ તેજસ જોષીએ સ્મશાનના ઓટલે બેસી શહેર ભાજપના વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને પૂર્વ પ્રમુખ પુનિત શર્મા પર ગંભીર આક્ષેપો કરતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વ્યાજે રૂપિયા ફેરવતા હોવાનો અને વ્યાજખોરીના કારણે નાના-મોટા લોકો બરબાદ થયાનો આક્ષેપ કર્યો છે. જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં પણ પોતાના અંગત વહીવટદારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોને ગોઠવી દીધા હોવાનો આક્ષેપ કર્યો છે.તેજસ જોષીએ કહ્યું કે, સ્મશાનમાંથી કોઈ વ્યકિત ખોટું ન બોલે. હું ખાલી આક્ષેપ નથી કરતો મારી પાસે પુરાવા પણ છે. તો બીજી તરફ વર્તમાન અને પૂર્વ પ્રમુખે તેજસ જોશીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. હાલ તો શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ચાલી રહેલો આ ગજગ્રાહ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગૌરવ રૂપારેલિયાનું કરોડો રૂપિયાનું વ્યાજવટાવનું સામ્રાજય- તેજસ જોષીતેજસ જોષીએ જૂનાગઢ શહેર ભાજપના વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પર જે આક્ષેપો કર્યા છે તે ખરેખર સ્તબ્ધ કરી દે તેવા છે. તેમણે આક્ષેપ કર્યો કે ગૌરવ રૂપારેલીયા જૂનાગઢમાં લાખો-કરોડો રૂપિયાનું વ્યાજવટું કરવાનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે. આ વ્યાજખોરીના ચક્રમાં જૂનાગઢના નાના વેપારીઓથી લઈને મોટા માથાઓ પણ ફસાયેલા છે. પપ્પુ જોષીએ મીડિયા સમક્ષ બે કાગળો પણ રજૂ કર્યા હતા જેમાં વ્યાજે રૂપિયા લેનારા અનેક લોકોના નામ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરતા જણાવ્યું કે સરકાર વ્યાજખોરો સામે જે ઝુંબેશ ચલાવી રહી છે તેમાં જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની પણ તપાસ થવી જોઈએ, કારણ કે તેમના આ વ્યાજચક્રને લીધે અનેક લોકો બરબાદ થઈ રહ્યા છે. 'શહેર ભાજપ સંગઠનમાં પોતાના લાગતા વળગતાઓને ગોઠવી દીધા'આ ઉપરાંત ગૌરવ રૂપારેલીયા પર સંગઠનમાં વહાલાં-દવલાંની નીતિ અપનાવવાના પણ આક્ષેપો થયા છે. તેજસ જોષીએ જણાવ્યું કે પ્રમુખે જૂનાગઢ ભાજપ સંગઠનની ટીમમાં એવા લોકોની નિમણૂક કરી છે જેઓ કાં તો તેમના અંગત વહીવટદારો છે અથવા તો આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટો છે. જેમાં આક્ષેપો કરાયા છે કે જે લોકો ગૌરવ રૂપારેલીયાની બિલ્ડિંગોનો કે અન્ય બાબતનો વિરોધ કરતા હતા તેમને હોદ્દા આપીને મોઢા બંધ કરી દેવા તેને સંગઠનમાં હોદ્દા આપી દેવામાં આવ્યા છે. વધુમાં, જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ શાખામાં પણ ગૌરવ રૂપારેલીયાએ પોતાના બે અંગત માણસોને ગેરકાયદેસર નાણાકીય વહીવટ કરવા માટે કમિશન પર રાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.મહાનગરપાલિકામાં આવતી વિકાસની ગ્રાન્ટમાં પણ ટકાવારી નક્કી કરવામાં આવી હોવાનું પપ્પુ જોષીએ જણાવ્યું છે. પૂર્વ પ્રમુખ પુનિત શર્માએ નિયમો નેવે મુકી ગેરકાયદે બિલ્ડિંગો ખડકી દીધાનો આક્ષેપતેજસ જોષીની નિશાના પર જૂનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિત શર્મા પણ રહ્યા છે. પપ્પુ જોષીએ દાવો કર્યો કે, પુનિત શર્માએ જૂનાગઢમાં નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરીને અનેક ગેરકાયદેસર બિલ્ડિંગો ખડકી દીધી છે. તેમણે ગોલ્ડન સ્ક્વેર, લેન્ડમાર્ક, ફોર્ચ્યુન પ્લાઝા અને શ્રીમદ એપાર્ટમેન્ટ જેવી બિલ્ડિંગોમાં મોટાપાયે ગેરરીતિઓ થઈ હોવાના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ભૂતકાળમાં રાયજી બાગમાં જે એપાર્ટમેન્ટ ધરાશાયી થયું હતું અને જેમાં નિર્દોષ શ્રમિકોના મોત થયા હતા, તેની યાદ અપાવતા તેમણે કહ્યું કે ભાજપનો ખેસ પહેરી લેવાથી કોઈને ભ્રષ્ટાચાર કરવાનો પરવાનો મળી જતો નથી. પુનિત શર્મા પર એવો પણ આરોપ છે કે તેમણે બ્રહ્મ સમાજને રાજકીય રીતે નીચોવી નાખ્યો છે અને પોતાની ધારાસભ્ય બનવાની મહત્વકાંક્ષા પૂરી કરવા માટે સમાજના અન્ય કોઈ નેતા આગળ ન વધે તેવા પ્રયત્નો કર્યા છે. સંજય કોરડિયાને ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપવધુમાં પુનિત શર્મા પર જૂનાગઢ વિધાનસભાની ચૂંટણી સમયે પાર્ટીના જ ઉમેદવાર સંજય કોરડીયાને હરાવવા માટે સક્રિય થયા હોવાનો અને તે અંગેની ઓડિયો ક્લિપ્સ ઉપલબ્ધ હોવાનો દાવો પણ તેજસ જોષીએ કર્યો છે. તેમણે જણાવ્યું કે પુનિત શર્માએ અત્યારે પણ સંગઠનમાં પોતાના વહીવટદારોને ગોઠવી દીધા છે. જેથી જૂનાગઢના ભ્રષ્ટાચારનો કારોબાર અવિરત ચાલતો રહે. પપ્પુ જોષીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું ભાજપના પાયાના કાર્યકરોએ માત્ર આ વગદાર લોકો અને તેમના વહીવટદારોના આદેશો જ પાળવાના? જે લોકોએ પક્ષ માટે લોહી રેડ્યું છે તેમને બાજુ પર મૂકીને માત્ર ફોટા પડાવવાના શોખીન લોકોને પદ આપવામાં આવ્યા છે. જૂનાગઢનો વિકાસ માત્ર કાગળ પર છે- તેજસ જોષીભ્રષ્ટાચારના એક મોટા ઉદાહરણ તરીકે તેજસ જોષીએ જૂનાગઢમાં આંબેડકરના પૂતળાથી સેજની ટાંકી સુધીના રોડના કામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે નિષ્ણાત કોન્ટ્રાક્ટરો મુજબ આ રોડ 1.22 કરોડમાં બની શકે તેમ છે, પરંતુ કોર્પોરેશનના હોદ્દેદારોએ તેના માટે 3 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પપ્પુ જોષીએ સવાલ કર્યો કે આ વધારાના પોણા બે કરોડ રૂપિયા કોના ઘરે જવાના છે ? ગૌરવ રૂપારેલીયાના કે પુનિત શર્માના? તેમણે આક્ષેપ કર્યો કે જૂનાગઢનો વિકાસ માત્ર કાગળ પર છે અને લોકોના ટેક્સના પૈસા નેતાઓના ખિસ્સામાં જઈ રહ્યા છે. શહેરમાં ત્રણ મહિના પહેલા બનેલા રસ્તાઓ ફરી ખોદી નાખવામાં આવે છે, જે સ્પષ્ટ કરે છે કે અહીં કેવો ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાઆ સમગ્ર આક્ષેપો સામે સામા પક્ષે પણ પ્રતિક્રિયા આપી છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે સંગઠનમાં કોઈને પણ હોદ્દો આપવો તે તેમના એકલાના હાથની વાત નથી, તે પ્રદેશ કક્ષાએથી પાર્ટી દ્વારા નક્કી થતું હોય છે. તેવી જ રીતે પૂર્વ પ્રમુખ પુનિત શર્માએ પણ આ તમામ વાતોને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે આ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને લોકો જાણે છે કે વાસ્તવિકતા શું છે. જોકે, પપ્પુ જોષીએ જે રીતે સ્મશાનમાં બેસીને પુરાવાઓ સાથે ખુલાસા કર્યા છે તેને જોતા લોકોમાં આ જવાબ કેટલી ગળે ઉતરશે તે એક મોટો પ્રશ્ન છે. જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં ફેરબદલ કરવાની માગપપ્પુ જોષીએ જૂનાગઢના નરસિંહ મહેતા તળાવના લોકાર્પણ મુદ્દે પણ ગૌરવ રૂપારેલીયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલા જ રાત્રે ગૌરવ રૂપારેલીયાએ પોતાના માનીતા લોકો સાથે જઈને ફોટો સેશન કરી લોકાર્પણ કરી દીધું હતું. આ બાબત દર્શાવે છે કે તેઓ પોતાની જાતને મુખ્યમંત્રી કરતા પણ મોટા સમજે છે. તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓને બે હાથ જોડી વિનંતી કરી છે કે જૂનાગઢ ભાજપના હાલના સંગઠનને તાત્કાલિક બદલવામાં આવે, નહીંતર આગામી સમયમાં પક્ષની હાલત અહીં ખૂબ જ ખરાબ થશે. તેમણે કહ્યું કે જૂનાગઢમાં હાલ ભાજપના ચાર અલગ-અલગ ગ્રુપ પડી ગયા છે જેના કારણે સંગઠન નબળું પડ્યું છે. મારા પર જીવલેણ હુમલો થઈ શકે છે- તેજસ જોષીખુલાસાના અંતે તેજસ જોષીએ પોતાના જીવનું જોખમ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે જ્યારથી તેમણે સોશિયલ મીડિયા પર આ ખુલાસા કરવાની જાહેરાત કરી હતી ત્યારથી જ તેમને ડર છે કે તેમના પર કોઈ જીવલેણ હુમલો થઈ શકે છે અથવા ખોટા કેસમાં ફસાવવામાં આવી શકે છે. ગઈકાલની રાત તેમના માટે ખૂબ જોખમી હતી તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ભવિષ્યમાં તેમને કે તેમના પરિવારને કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ગૌરવ રૂપારેલીયા અને પુનિત શર્માની રહેશે. પપ્પુ જોષીએ એમ પણ કહ્યું કે તેઓ કોઈ વ્યક્તિના વિરોધમાં છે, પક્ષના વિરોધમાં નથી. તેઓ ભાજપના પાયાના કાર્યકર તરીકે પક્ષને બચાવવા માંગે છે. હાલ તો તેજસ જોષીના આ સ્મશાનથી કરવામાં આવેલા ધડાકા બાદ જૂનાગઢમાં રાજકીય માહોલ ગરમાયો છે. એક પાયાનો કાર્યકર જ્યારે આટલા ગંભીર પુરાવાઓ સાથે પીએમઓ સુધી રજૂઆત કરે છે.ત્યારે આગામી સમયમાં તપાસનો ધમધમાટ શરૂ થાય અને જૂનાગઢ ભાજપમાં મોટા ફેરફારો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ લડાઈ હવે માત્ર સંગઠનની નથી રહી પણ જૂનાગઢના ભ્રષ્ટાચાર અને વિકાસના નામે થતા વહીવટોની સામે એક જંગ બની ગઈ છે. પપ્પુ જોષીએ કહ્યું કે જો આ મામલે સત્યની જીત થશે તો તે સમગ્ર ગુજરાતના પાયાના કાર્યકરોની જીત ગણાશે.
નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓમાં બાકી પડતર રકમની વસૂલાત માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) એક્શન મોડમાં આવી છે ત્યારે આજરોજ ભાવનગર સર્કલએ સમગ્ર જિલ્લામાં એક વ્યાપક 'મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવ્યું છે, ભાવનગર સર્કલના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર યશપાલ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાવનગર સર્કલના તમામ 32 સબ ડિવિઝન આ ડ્રાઈવમાં જોડાયા છે દરેક સબ ડિવિઝનમાં 10 ટીમો કાર્યરત છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કુલ 320 ટીમો સવારના 8:00 વાગ્યાથી ફિલ્ડમાં ઉતરી છે, દરેક ટીમને 20 કનેક્શનનો ટાર્ગેટ અપાયો છે સાંજ સુધીમાં અંદાજે 6,400 કનેક્શન અટેન્ડ કરવાની નેમ છે, આ ડ્રાઈવ દ્વારા અંદાજે રૂ. 32 કરોડ જેટલી માતબર રકમના લેણાં ધરાવતા ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા છે, દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં અમે રિકવરી માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આ વખતે 'અક્રોસ PGVCL' સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ અમે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. ગ્રાહકોએ કનેક્શન કપાયા બાદ રીકનેક્શન ચાર્જ ભરવો ફરજિયાત રહેશે, PGVCLની આ આક્રમક રિકવરી ઝુંબેશને પગલે હવે ગ્રાહકોએ વહેલી તકે પોતાના વીજ બિલોની ચુકવણી કરવી પડશે, અન્યથા અંધારપટનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આજની ડ્રાઈવની સૌથી મોટી ખાસિયત એ છે કે, જે ગ્રાહકોના વીજ બિલ બાકી છે તેમની પાસેથી સ્થળ પર નાણાં સ્વીકારવાને બદલે સીધું જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવી રહ્યું છે ગ્રાહકે પોતાના બાકી લેણાં અને રીકનેક્શન ચાર્જ ભર્યા બાદ જ તેમનો પાવર સપ્લાય ફરી શરૂ કરવામાં આવશે, કંપની દ્વારા લેવામાં આવેલું આ કડક વલણ બાકીદારોમાં ફફડાટ ફેલાવી રહ્યું છે.
વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશન પાસે આવેલ ગોરવા ગામના ગેટ પાસે પુત્રની નજર સામે પિતાની હત્યા થઈ ગઈ હતી. સાળા-બનેવીએ એક શખસને માથામાં ફટકા મારી પતાવી દીધો હતો. આ મામલે આરોપી સાળા સોહિલ રાણા અને બનેવી સંદીપ વાઘેલા સામે ગુનો દાખલ કર્યો છે અને સોહેલ રાણાની ધરપકડ કરી લીધી હતી. આજે બીજા આરોપી સંદીપ વાઘેલાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પંચવટીથી બાજવા રોડ વકીલને મળવા જઈ રહ્યો હતો અને બાતમીના આધારે પોલીસે તેને રસ્તામાં જ દબોચી લેવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ બંને આરોપીઓએ પોલીસ સામે કાન પકડીને માફી માંગી હતી. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા આરીફ ઘાંચીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમભાઈ ઘાંચી (ઉંમર.45 વર્ષ, રહે. ગોરવા, વડોદરા) ગોરવા ગામ ઇદગાહ શોપિંગ સેન્ટર ખાતે કે.જી.એન. ફર્નીચર નામની દુકાનમાં હાજર હતા. રાત્રિના આશરે સાડા 10 વાગ્યાના સમયે તેમના પુત્ર આરીફ અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમભાઈ ઘાંચી (ઉંમર 29)ને પિતા અમીજી ઘાંચીએ જણાવ્યું હતું કે ગોરવા ગામના ચોકમાં આવેલા 'અપના પાનના ગલ્લા' પર પેલાએ બે લાફા માર્યા છે, તું ચાલ, જેથી પુત્રએ પિતાને ઘરે જવા કહ્યું હતું અને દુકાન બંધ કરવાની તૈયારી કરી હતી. યુવકના પિતા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોરવા ગામના મુખ્ય રસ્તા પરના ગેટ પાસે બે વ્યક્તિ એક્ટિવા પર આવીને ઝઘડો કરવા લાગી હતી. પુત્ર આરીફ દોડતાં દોડતાં ત્યાં પહોંચ્યો હતો, ત્યાં જઈને જોયું કે આરોપી સંદીપ વાઘેલા (રહે. મધુનગર સોસાયટી, શાહઝહા ગ્રાઉન્ડની સામે, મધુનગર, વડોદરા) અને સોહિલ રાણા (રહે. નાગજી બાપુના પીઠાની બાજુમાં આવેલા મકાન, વડોદરા) તેમના પિતા સાથે મારામારી કરી રહ્યા છે. સંદીપ વાઘેલાએ હાથા જેવું લાંબું હથિયાર લઈને મૃતકના માથા પર બે-ત્રણ ઘા માર્યા હતા, જેના કારણે તેઓ બેહોશ થઈને પડી ગયા. તેમને છાતીમાં પમ્પિંગ કર્યું હતું, તેમ છતાં તેઓ કંઈ બોલતા નહોતા. આરીફે તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ અવાજ આવતો ન હોવાથી મિત્ર સિરાજની ગાડીમાં તેમને ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદમાં આરીફે જણાવ્યું છે કે મારામારીનું કારણ તેમને ખબર નથી. ગોરવા પોલીસે સાળા-બનેવી સંદીપ વાઘેલા અને સોહેલ રાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને એક આરોપી સોહેલની ધરપકડ કરી છે. મૃતકના પુત્ર આરીફ ઘાંચીએ જણાવ્યું હતું કે, અપના પાન સેન્ટર પર મારા પિતા ગયા હતા. ત્યાં શું માથાકૂટ થઈ એ મને વિગતે ખબર નથી, પણ જ્યારે તેઓ મારી ઓફિસ પાસે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું કે પેલાએ મને બે લાફા માર્યા છે, તું મારી સાથે ચાલ, પરંતુ મેં તેમને શાંત પાડ્યા અને ઘરે જવા કહ્યું હતું. હું ઓફિસનો સામાન અંદર મૂકીને જેવો બહાર નીકળ્યો હતો, ત્યારે મેં જોયું કે ગોરવા પોલીસ સ્ટેશનની નજીક ગોરવા ગામના ગેટ સામે મારી નજર સામે જ મારા પિતા પર હુમલો થયો હતો. હુમલો કરનાર સંદીપ વાઘેલા અને તેનો સાળો સોહિલ રાણા હતા. હું જેવો ત્યાં દોડીને પહોંચ્યો, એ બંને ત્યાંથી ભાગી ગયા હતા. મારા પિતા ત્યાં જ ઢળી પડ્યા હતા. મેં લગભગ 10 મિનિટ સુધી તેમને સીપીઆર (પમ્પિંગ) આપ્યું હતું, માઉથ-ટુ-માઉથ શ્વાસ આપવાની કોશિશ કરી હતી, પણ કોઈ હિલચાલ નહોતી. તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. મેં 108ને પણ 3-4 વાર ફોન કર્યો, પણ લાગ્યો નહીં, એટલે હું મારા મિત્રની ગાડીમાં તેમને ગોત્રી હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેણે કહ્યું હતું કે કોઈ જૂની અદાવત નહોતી. સંદીપ વાઘેલા મારા પિતાને બાળપણથી ઓળખતો હતો, પણ મારા પિતાને અંદાજ નહોતો કે તે તેમના પર આવો જીવલેણ હુમલો કરશે. મેં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. સાબરકાંઠા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કેન્દ્ર સંચાલકોએ શિક્ષકો સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. હિંમતનગરમાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચીને પોતાની બેઠક વ્યવસ્થા જોવા મળ્યા હતા. આવતીકાલે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ગોળ ખવડાવી શુભેચ્છાઓ સાથે પ્રવેશ આપવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારથી ધોરણ 10ની પરીક્ષા સવારના સેશનમાં 10 વાગ્યાથી અને ધોરણ 12ની પરીક્ષા બપોરના સેશનમાં 3 વાગ્યાથી યોજાશે. ધોરણ 10ની પરીક્ષા માટે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને ઇડર ઝોનમાં કામગીરી વહેંચાયેલી છે. જિલ્લામાં કુલ 86 બિલ્ડીંગમાં 42 પરીક્ષા કેન્દ્રો પર 836 બ્લોક છે, જ્યાં 23,928 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. હિંમતનગર ઝોનમાં ધોરણ 10 માટે 43 બિલ્ડીંગમાં 19 પરીક્ષા કેન્દ્રો પર 400 બ્લોક છે, જ્યાં 11,433 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ઇડર ઝોનમાં 43 બિલ્ડીંગમાં 23 પરીક્ષા કેન્દ્રો પર 436 બ્લોક છે, જ્યાં 12,495 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા હિંમતનગર ઝોનમાં યોજાશે. આ પ્રવાહમાં 45 બિલ્ડીંગમાં 21 કેન્દ્રોમાં 440 બ્લોકમાં 12,977 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે 18 બિલ્ડીંગમાં 6 કેન્દ્રોમાં 153 બ્લોક છે, જ્યાં 2,946 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બોટાદમાં એસ.ટી. બસ ડ્રાઈવર પર થયેલા હુમલાના વિરોધમાં એસ.ટી. કર્મચારી યુનિયન દ્વારા અધિક કલેક્ટર અને એસ.પી.ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. યુનિયને હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ ઘટના ગઈકાલે શહેરના ભાંભણ રોડ પર બની હતી. બોટાદ-ઈંગોરાળા રૂટની એસ.ટી. બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા પર એક રીક્ષા ચાલકે લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. એસ.ટી. કર્મચારી યુનિયને આ આવેદનપત્ર દ્વારા હુમલો કરનાર રીક્ષા ચાલક વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે.આ ઉપરાંત, યુનિયને બોટાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી રીક્ષાઓ તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ વગરના રીક્ષાચાલકો સામે પણ કડક પગલાં ભરવાની માંગણી કરી છે.
સાયબર ગઠિયાઓ દિન પ્રતિદિન શેર બજારમાં રોકાણના નામે લોકોને ઠગી રહ્યા છે.ત્યારે અમદાવાદના વધુ એક વૃદ્ધ ઠગાઈનો ભોગ બન્યા છે. વૃદ્ધે સાયબર ગઠિયાઓના જણાવ્યા મુજબ તેમની એપ્લિકેશનમાં 90 લાખથી વધુનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને 7.46 કરોડ રૂપિયા નફો બતાવ્યો હતો. જ્યારે વૃદ્ધ પૈસા ઉપાડવા ગયા ત્યારે માત્ર 1.28 લાખ રૂપિયા તેમને પરત આપવામાં આવ્યા હતાં. બાકીના પૈસા ઉપાડવા હોય તો 10% ફી ભરવી પડશે તેવું જણાવ્યું હતું. વૃદ્ધે તપાસ કરતા તેમની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી. જેથી તેમણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. મેસેજ આવ્યો ને લિંક પર ક્લિક કરતાં ફસાયાપાલડીમાં રહેતા 68 વર્ષથી વૃદ્ધ ટેક્સ કન્સલ્ટન્સીનું કામ કરે છે. તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો.જે લિંક ક્લિક કરતા તેઓ ગ્રુપમાં એડ થયા હતાં. આ ગ્રુપમાં સ્ટોક માર્કેટ અને આઇપીઓ ભરવા માટેની વિવિધ જાણકારી આપવામાં આવતી હતી. યુવતીએ વૃદ્ધને એપ્લિકેશન ડાઉનલોડ કરાવીતેઓ ગ્રુપમાં થોડા સમય રહ્યા ત્યારે ગ્રુપના અન્ય લોકો રોકાણ કર્યા બાદ નફો થયો હોય તેવી વાત કરતા હતાં, જેથી વૃદ્ધને વિશ્વાસ આવી ગયો હતો. વૃદ્ધને પણ ઇન્વેસ્ટ કરવું હોવાથી તેમણે કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો હતો. જ્યાં યુવતીએ વૃદ્ધને એપ્લિકેશન ડાઉનલોડ કરવી હતી. જેમાં એપ્લિકેશન કઈ રીતે વાપરવી તે માટેના સ્ક્રીનશોટ મોકલ્યા હતા. 90. 27 લાખનું રોકાણ ને 7.46 લાખનો નફો બતાવ્યોવૃદ્ધે ટુકડે ટુકડે 90. 27 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.જેની સામે તેમને 7.46 કરોડ રૂપિયાનો નફો બતાવતા હતા.જે પૈકી તેમણે 1.28 લાખ રૂપિયાની રકમ ઉપાડી હતી. જ્યારે તેઓ બાકીની રકમ ઉપાડવા ગયા ત્યારે તે ઉપડી નહોતી. વધુ 10 ટકા રકમ ભરવા ક્હ્યું ફ્રોડની જાણ થઈતેથી તેમણે કસ્ટમર કેરમાં ફોન કર્યો ત્યારે તેમને બાકીની રકમ ઉપાડવી હોય તો 10% પૈસા ભરવા પડશે તેવું જણાવ્યું હતું. જેથી વૃદ્ધે તપાસ કરી તો એપ્લિકેશન ફ્રોડ હોવાનું જાણ થઈ હતી.વૃદ્ધે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાટણ પાલિકાના અધિકારીઓ સામે પોલીસ અરજી:ખોટી BU પરમિશન આપવા બદલ 6 કોર્પોરેટરોનો આક્ષેપ
પાટણ નગરપાલિકાના 6 કોર્પોરેટરોએ ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. આ અરજી જૂના બસ સ્ટેન્ડ પાસેના એક કોમર્શિયલ પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરી ખોટી બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન આપવા બદલ કરવામાં આવી છે. કોર્પોરેટરોએ આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. નગરપાલિકાના સદસ્ય મનોજકુમાર પટેલ, મુકેશકુમાર પટેલ અને અન્ય 4 સદસ્યોએ આક્ષેપ કર્યો છે કે બગવાડા દરવાજા પાસે રેવન્યુ સર્વે નંબર 56 પૈકીની જમીન પર GSRTC પાટણ અને કતિરાકયુબ ટ્રાન્સ પ્લાઝા પ્રા.લી. દ્વારા કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામમાં આર્થિક લાભ મેળવવાના ઈરાદે મિલીભગત કરીને ખોટી રીતે પરમિશન ઇશ્યુ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, 16/09/2025 ના રોજ અરજી કરવામાં આવી હતી અને તે જ દિવસે કોઈપણ પ્રકારની સ્થળ તપાસ વગર અથવા ખોટી વિગતો દર્શાવીને પરમિશન આપી દેવામાં આવી. નિયમ મુજબ બાંધકામ પૂર્ણ થયા બાદ જ BU પરમિશન આપી શકાય છે, પરંતુ સ્થળ પર બીજા, ત્રીજા અને ચોથા માળનું કામ ચાલુ હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને પરમિશન અપાઈ છે. આ ઉપરાંત, બિલ્ડીંગમાં ફાયર વિભાગનું NOC ન હોવાનું અને લિફ્ટ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોવા છતાં ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંત ભરતભાઈ સોલંકીએ પરમિશન આપી હોવાનો આક્ષેપ છે. અગાઉ ચીફ ઓફિસરે એક નોટિસમાં સ્વીકાર્યું હતું કે સ્થળ પર કામ ચાલુ છે અને CGDCR ના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં પાછળથી ખોટા રેકોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. કોર્પોરેટર મનોજ પટેલે જણાવ્યું હતું કે આ ખોટી પરમિશનના આધારે બિલ્ડીંગમાં V-Mart અને અન્ય શો-રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમણે બસ સ્ટેશનનું કામ ઝડપથી ચાલુ કરવાની માંગ કરી છે અને જો તેમ નહીં થાય તો હોળી-ધૂળેટી પછી આંદોલન અને ઉપવાસ કરવાની વાત કરી છે. તેમણે ભ્રષ્ટાચારી અધિકારીને પદ પરથી દૂર કરવા સરકારમાં રજૂઆત કરવાની પણ વાત કરી છે.
AI ઈમ્પૅક્ટ સમિટ તોફાન મામલે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચીબની ધરપકડ કરવામાં આવતા આજ રોજ રાજકોટ શહેર યુવક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા સરકાર વિરુદ્ધ સુત્રચાર કરી નરેન્દ્ર મોદીના પોસ્ટર સળગાવવામાં આવતા ગાંધીગ્રામ પોલીસે વિરોધ કરનાર આગેવાનો અને કાર્યકર્તાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તિલક માર્ગ પોલીસે યુથ કોંગ્રેસના પ્રમુખની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કરતા હાલ તે પોલીસ રિમાન્ડમાં છે જેની પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં પુછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચીબની પોલીસ દ્વારા કરવામાં આવેલી ખોટી ધરપકડ અને દમનકારી વલણના વિરોધમાં રાજકોટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, દેશના યુવાનોના હક્ક અને અવાજને દબાવવા માટે સરકાર તાનાશાહી વલણ અપનાવી રહી છે. લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ રીતે પોતાના હક્ક અને અવાજ ઉઠાવવો દરેક નાગરિકનો અધિકાર છે છતાં સરકાર દમન દ્વારા અવાજ દબાવવા પ્રયત્ન કરી રહી છે જે નિંદનીય છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયન યુથ કોંગ્રેસ હંમેશા દેશના યુવાનોના હક્ક માટે લડી રહ્યું છે અને આગળ પણ લડતું રહેશે. સરકારના ખોટા કામોનો જે પર્દાફાશ થઈ રહ્યો છે તેને રોકવા માટે સરકાર દ્વારા દમનકારી પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ સત્યની લડાઈ અટકવાની નથી. આજ રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ નારા લગાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટરો પણ સળગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દીપ ભંડેરી, શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા, હરપાલસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી જયદીપ મયાત્રા, ધવલ પાંભર, અક્ષાંસ ગોસ્વામી, નરેન્દ્ર પટેલ, અલ્પેશ સાધરિયા, જયદીપસિંહ ગોહિલ, મયુર સાવલીયા, કૃણાલ ચૌહાણ, જલ્પેશ વાધેલા, રણજીત મુંધવા, યજ્ઞેશ દવે, શિવરાજસીંહ જાડેજા, હિરલબા રાઠોડ, ફેનીલ વોરા, અમરદીપસીંહ જાડેજા, વિશ્વરાજસીંહ જાડેજા, કિશન પરસાણીયા, ધ્રુવીલ પટેલ, પ્રિન્સ પટેલ, સહીત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વભરમાં ભારતીય વાયુસેના સર્વશ્રેષ્ઠ છે અને તેની સાબિતી મળી જેસલમેર નજીક પોખરણની ચંદન ફાયરિંગ રેન્જમાં યોજાયેલી વાયુ શક્તિ-2026 કવાયત દરમિયાન. ભારતીય વાયુ સેના દ્વારા યોજાયેલી આ મેગા એક્સર્સાઈઝમાં અત્યાધુનિક ફાઈટર જેટ, હેલિકોપ્ટર અને મિસાઇલ સિસ્ટમ્સની દિલધડક કામગીરી જોવા મળી હતી. વાયુ શક્તિ 2026માં સોનિક બૂમથી ગુંજી ઉઠેલું આકાશ, રાત્રી ઓપરેશનમાં નિપુણતા અને સ્વદેશી શક્તિનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. રાફેલે સોનિક બૂમ સાથે સ્વાગત કરી તેની ઘાતક ક્ષમતા દર્શાવીરાજસ્થાનના રણમાં આવેલું પોખરણના ચંદન ફાયરિંગ રેંજ ફરી એક વખત ફરી ભારતની વ્યૂહાત્મક શક્તિનું કેન્દ્ર બન્યું હતું. વાયુશક્તિ 2026 અંતર્ગત ભારતીય વાયુસેનાએ પોતાના અત્યાધુનિક લડાકુ વિમાનો દ્વારા શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૌપ્રથમ આકાશમાં ગર્જના કરી રાફેલે સોનિક બૂમ સાથે સ્વાગત કર્યું અને નિશાનાઓ પર સચોટ પ્રહાર કરીને તેની ઘાતક ક્ષમતા દર્શાવી. બાદમાં સુખોઈ SU-30MKI અને મીરાજ 2000 HAL દ્વારા આધુનિક શસ્ત્રો સાથે ટાર્ગેટને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા હતા. સ્વદેશી વિમાનોની તાકાત હવે વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. આમ ‘મેક ઇન ઈન્ડિયા’ની શક્તિ આકાશમાં ગુંજી ઉઠી હતું. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હથિયારો અને હોવિત્ઝર તોપનું પરિવહનફક્ત ફાઈટર જેટ જ નહીં, પરંતુ હેલિકોપ્ટર વિંગ પણ તેટલું જ પ્રભાવશાળી રહ્યું હતું. ભારતમાં બનેલા HAL પ્રચંડ, HAL ધ્રુવ મિસાઇલે પોતાની મારક ક્ષમતાનું પ્રદર્શન કર્યું. સાથે જ બોઈંગ AH-64 અપાચે બોઇંગ, ચિનોક દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હથિયારો અને હોવિત્ઝર તોપનું પરિવહન કરી બતાવાયું કે કેવી રીતે IAF કોઈપણ ભૌગોલિક સ્થિતિમાં ઓપરેશન પાર પાડી શકે છે. ગરુડ કમાન્ડો દ્વારા બિલ્ડિંગ ક્લિયરિંગ ડ્રિલવાયુશક્તિ 2026ની ખાસિયત એ રાત્રિ ઓપરેશન પણ માનવામાં આવે છે. જગુઆર અને સુખોઈ જેવા લડાકુ જહાજ દ્વારા રાત્રિના અંધકારમાં સચોટ પ્રહાર માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે જ ભારતીય વાયુ સેનાના ગરુડ કમાન્ડો ફોર્સ દ્વારા બિલ્ડિંગમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરી લાઈવ ડ્રિલ બતાવવામાં આવ્યા. પેરા ટ્રૂપર્સ દ્વારા આકાશમાંથી જંપ કરી હોવિત્ઝર તોપથી ફાયરિંગ કરી અને સાથે જ આકાશ મિસાઈલ, સમાર મિસાઈલ સીસ્ટમ દ્વારા હવામાં ઘુસણખોરી કરનાર ટાર્ગેટને ટ્રેક અને શૂટ કરવાની ક્ષમતા પ્રદર્શિત કરી. Mi-17, ચેતક અને હેરોન UAV દ્વારા સર્વેલન્સ ક્ષમતા દર્શાવાઈટેક્ટિકલ ઓપરેશનમાં પણ ભારતીય વાયુ સેના આગળ રહ્યું. લોકેડ માર્ટીન C-130J , સૂપર હરક્યુલસ દ્વારા એરસ્ટ્રીપ વગર ઉતરાણ, બોઇંગ જહાજ C-17 ગલ્બમાસ્ટર દ્વારા યુદ્ધના મેદાનમાં વિશેષ સાધનો ઉતારવાની ડ્રિલ, અને એરબસ C-295 અને AN-32 દ્વારા લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાની ડ્રિલ સૌ કોઈને યુદ્ધની પરિસ્થિતિમાં તાકાત પુરી પાડતા દ્રશ્યો હતા. એટલુ જ નહીં Mi-17, ચેતક અને હેરોન UAV દ્વારા સર્વેલન્સ ક્ષમતા દર્શાવવામાં આવી. IAF ટેકનોલોજી, ટેક્ટિકલ કુશળતા અને મનોબળ ત્રણેયમાં વિશ્વસ્તરીયભારતીય વાયુસેના માત્ર યુદ્ધમાં જ નહીં, માનવતા બચાવવામાં પણ અગ્રેસર છે. ઓપરેશન કાવેરી અંતર્ગત 1100થી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા હતા. પોખરણની ધરતી પર ગુંજતી ગર્જના માત્ર પ્રદર્શન નહોતું, આ સંદેશ હતો ભારત હવે રક્ષણમાં જ નહીં, પ્રહાર ક્ષમતામાં પણ આત્મનિર્ભર છે. વાયુશક્તિ 2026 એ સાબિત કર્યું કે ભારતીય વાયુસેના ટેકનોલોજી, ટેક્ટિકલ કુશળતા અને મનોબળ ત્રણેયમાં વિશ્વસ્તરીય છે.
અરબી સમુદ્રની ઉછળતી લહેરો અને અનંત ક્ષિતિજ વચ્ચે ગીર સોમનાથના દરિયાકાંઠે સાહસનો અનોખો પ્રારંભ થયો છે. 35મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં દેશના 4 રાજ્યોના 24 યુવાનોએ હિંમતભેર ઝંપલાવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને વેસ્ટ બંગાળના 17 યુવકો અને 7 યુવતીઓ 21 અને 16 નોટિકલ માઈલનો પડકારપૂર્ણ પ્રવાસ ખેડી રહ્યા છે. ત્યારે સુરતની તાશા મોદી ફરી વિજેતા બની છે. તેણે સતત ત્રીજીવાર આ સિદ્ધિ મેળવી હતી. સી સ્વીમિંગ એ સાચું સાહસ- તાશા મોદીછેલ્લા ત્રણ વર્ષથી સતત વિજેતા બનતી સુરતની તરવૈયા તાશા મોદીએ જણાવ્યું હતું કે, પૂલ સ્વીમિંગ કરતા સી સ્વીમિંગ વધુ પડકારજનક છે. સમુદ્રના પ્રવાહ અને લહેરો વચ્ચે તરવું એ ફિટનેસ અને આત્મવિશ્વાસની કસોટી છે. યુવા પેઢીએ સાહસ અને શિસ્ત કેળવવા માટે આવી સ્પર્ધાઓમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. વિશ્વની ટોપ-5 લાંબી સ્પર્ધામાં સ્થાનવર્ષ 1973માં પૂજ્ય મોટાની પ્રેરણાથી શરૂ થયેલી આ પરંપરા આજે વૈશ્વિક સ્તરે નામના મેળવી ચૂકી છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણાના જણાવ્યા અનુસાર, આ સ્પર્ધા વિશ્વની સૌથી લાંબી સમુદ્ર તરણ સ્પર્ધાઓમાં 1થી 5 ક્રમમાં સ્થાન ધરાવે છે. આ આયોજન ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હરિઓમ આશ્રમ (નડિયાદ/સુરત)ના સહયોગથી કરવામાં આવે છે. સ્પર્ધાના રૂટ અને અંતરઆદ્રી ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાળે લીલી ઝંડી આપી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. સ્પર્ધાના મુખ્ય બે વિભાગો યુવકો માટે: ચોરવાડથી વેરાવળ બંદર (21 નોટિકલ માઈલ્સ) યુવતીઓ માટે: આદ્રીથી વેરાવળ (16 નોટિકલ માઈલ્સ) સુરક્ષા માટે ચુસ્ત આયોજનસમુદ્રની અનિશ્ચિતતા અને જોખમોને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના સખત પ્રબંધો કરવામાં આવ્યા છે. દરેક સ્પર્ધકની સુરક્ષા માટે એક સમર્પિત નાની બોટ સાથે રાખવામાં આવી છે. દરેક બોટમાં 1 લાઇફસેવર, 1 મેનેજર અને અધિકારી જરૂરી મેડિકલ કિટ સાથે હાજર રહે છે. દરિયામાં સતત પેટ્રોલિંગ અને તબીબી ટીમ 'સ્ટેન્ડબાય' રાખવામાં આવી છે.આ સ્પર્ધા માત્ર જીતવા માટે નથી, પરંતુ યુવાનોમાં સાહસ અને મક્કમ નિર્ધારનો સંદેશ ફેલાવવા માટે છે. સ્પર્ધા પૂર્ણ કરનાર તમામ તરવૈયાઓને પ્રમાણપત્ર અને વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
મોરબી જિલ્લાના સાપર ગામે સમસ્ત સાપર ગામ પરિવાર દ્વારા આગામી 7 અને 8 માર્ચના રોજ બે દિવસીય શ્રી ગુરુ મૂર્તિ સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવ કુલગુરુ બ્રહ્મસ્વરૂપ સૂક્ષ્મસ્વરૂપી રાજર્ષિ મુનિજીની જન્મભૂમિ સાપર મુકામે યોજાઈ રહ્યો છે. જેમાં રાજર્ષિ મુનિજીની મૂર્તિ અને સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવશે. મહોત્સવના પ્રથમ દિવસે, 7 માર્ચ, શનિવારે ત્રિદેવ-રાજબાઈ માં મંદિર પાટોત્સવ અંતર્ગત ભગવાન અને ગુરુમૂર્તિની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નગરયાત્રા જેતપર દાદાએથી શરૂ થઈ અણિયારી, સાપર, વાધરવા, પીલુડી અને જસમતગઢ થઈને ફરી સાપર ગામે પહોંચશે. બીજા દિવસે, 8 માર્ચ, રવિવારે સવારે શુભ ચોઘડિયે ગુરુ મૂર્તિ અને સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. ત્યારબાદ પધારેલા સંતોના આશીર્વચનનો કાર્યક્રમ યોજાશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત સાપર ગામ પરિવાર દ્વારા આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જામનગરમાં આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ:NSG, કમાન્ડોએ 7 આતંકીઓને ઠાર કરી 12 બંધકોને બચાવ્યા
જામનગરમાં આતંકવાદ વિરોધી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ રિફાઈનરી બાદ જિલ્લા કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે આ રાષ્ટ્રીય કક્ષાની કવાયત યોજાઈ હતી. આ મોકડ્રીલમાં NSG, ચેતક કમાન્ડો અને સ્થાનિક વહીવટી તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 7 'આતંકવાદીઓ'નો ખાતમો કર્યો હતો અને 12 'બંધકો'ને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. આ ઓપરેશનમાં કલેક્ટર કચેરીના બીજા માળ પર અને ક્રિસ્ટલ મોલની અંદર 7 'આતંકવાદીઓ' દ્વારા હુમલો કરી 12 'નાગરિકો'ને બાન પકડવાનો ડમી સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. આ કવાયતનો મુખ્ય હેતુ સંભવિત કટોકટી સામે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની સજ્જતા ચકાસવાનો હતો. ઘટનાની જાણ થતાં જ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), ચેતક કમાન્ડો, પોલીસ તંત્ર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સંવેદનશીલ સ્થળોને તાત્કાલિક કોર્ડન કરવામાં આવ્યા હતા. જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે બુલેટ પ્રુફ વાહનો, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરાયા હતા. આતંકી ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ સંબંધિત વિભાગોના કાફલાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વ્યૂહાત્મક રીતે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન બંને સ્થળનો વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. સુરક્ષા દળો અને કમાન્ડો દ્વારા અત્યંત કુશળતાપૂર્વક આતંકી કાવતરું નિષ્ફળ બનાવી તમામ 'આતંકવાદીઓ'ને ઠાર કરવામાં આવ્યા હતા. આ સાથે, તમામ 12 'બંધકો'ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે સાંજે 6:48 કલાકે શરૂ થયેલી આ મોકડ્રીલ 5 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને રાત્રે 12:20 કલાકે પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. જ્યારે ક્રિસ્ટલ મોલ ખાતે રાત્રે 11:30 કલાકે શરૂ થયેલી મોકડ્રીલ રાત્રે 3:20 કલાકે પૂર્ણ થઈ હતી. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તમામ વિભાગો વચ્ચે ગણતરીની ઘડીઓમાં સંકલન સાધવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ થકી સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી કરાઈ હતી અને વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ સફળ તાલીમ દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રએ સાબિત કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
પાટણમાં રહેતા એક યુવકે દોઢ વર્ષ પહેલા જ કરેલા લગ્નમાં તોફાન સર્જાયું છે. ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ લગ્ન કરનાર યુવકની પત્ની ઘરમાંથી દાગીના લઈ બે યુવકો સાથે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. યુવક અને તેના મિત્રઓ પત્ની જે ફોર્ચ્યુનર કારમાં સવાર હતી તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. મહેસાણા પાંચોટ બાયપાસ પાસે ફોર્ચ્યુનરને રોકવાનો પ્રયાસ કરતા પતિને ટક્કર મારી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી. યુવક દ્વારા આ મામલે બે શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી યુવકના યુવતી સાથે દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતાપાટણમાં રહેતા ફરિયાદી યુવકના લગ્ન દોઢ વર્ષ પહેલા પાયલ ( નામ બદલેલ છે) નામની યુવતી સાથે થયા હતા. ગત 19 ફેબ્રુઆરીએ રાત્રિના સમયે પાયલે રાજકોટ મીટિંમગમાં જવાનું બહાનું કાઢી મોડી રાત્રે ઘરેથી નીકળવાનો આગ્રહ કર્યો હતો. પરિવારજનોએ સવારે જવાનું કહેવા છતાં તે ન માની અને ઘરની બહાર ઉભેલી નંબર પ્લેટ વગરની સફેદ ફોર્ચ્યુનર ગાડીમાં બેસી ગઈ હતી. પત્ની ગયા બાદ પતિએ તપાસ કરતા રૂમના કબાટમાંથી સોનાની લકી, બે વીંટી અને ચેઈન ગાયબ હોવાનું જણાયું હતું. પતિએ રોકવાનો પ્રયાસ કરતા ફોર્ચ્યુનરથી ટક્કર મારીશંકા જતા પતિએ તેના મિત્રો સાથે ડસ્ટર ગાડીમાં ફોર્ચ્યુનરનો પીછો કર્યો હતો. મહેસાણા પાંચોટ બાયપાસ પાસે પત્ની સાથે ફોન પર વાતચીત ચાલુ હતી ત્યારે જ આ ફોર્ચ્યુનર ગાડી ત્યાંથી પસાર થઈ હતી. મહેસાણા ટાઉનમાં અંડરબ્રીજ પાસે ટ્રાફિક હોવાથી પતિએ ગાડીમાંથી નીચે ઉતરી ફોર્ચ્યુનરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડી ચલાવી રહેલા મિત પરમાર ઉર્ફે મિતરાજ નામના શખ્સે ગાડી ઉભી રાખવાને બદલે પતિને ટ્રક બાજુ દબાવી નીચે પાડી દીધો હતો, જેમાં તેને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પત્ની સાથે આવેલો રાજવીર અને ગાડી ચાલક મિતરાજ અગાઉ હોટલમાં રોકાયા હતા. આ સમગ્ર મામલે યુવકે રાજવીર અને મિતરાજ વિરુદ્ધ ઈજા પહોંચાડી ભાગી છૂટવા અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બાબતે ફરિયાદી યુવકે ભાસ્કર ને જણાવ્યું કે આરોપી મિતરાજ ની ગાડી પર ભાજપ મહામંત્રી લખેલું બોર્ડ હતું.તેમજ આ મિતરાજ ભાજપના કોઈ હોદ્દા પર હોવાનું જાણવા મળ્યું છે.
મહીસાગર જિલ્લામાં 123 કરોડ રૂપિયાના “નલ સે જલ” કૌભાંડ મામલે તપાસ વધુ તેજ બની છે. વડોદરા CID ક્રાઈમે WASMO (વાસ્મો) યુનિટના કર્મચારી વૈભવ સંગાણીની ધરપકડ કરી છે. વૈભવ સંગાણી મહીસાગર જિલ્લાની વાસ્મો કચેરીમાં ફરજ બજાવતા હતા. આ કૌભાંડમાં સરકારની પાણી પુરવઠા યોજનામાં ગેરરીતિઓ અને આર્થિક અનિયમિતતાઓના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે CID ક્રાઈમે તપાસ શરૂ કરી હતી. હાલ કેસમાં વધુ દસ્તાવેજોની ચકાસણી તેમજ અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. આ કૌભાંડમાં અત્યાર સુધી કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ સહિત કુલ 23 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના આહ્વાનને સાકાર કરવા ગુજરાત સરકારે કમર કસી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'સ્વદેશી મેળાઓ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા આયોજિત આ મેળાઓ માત્ર વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને નવી ઊર્જા આપવાનું સશક્ત માધ્યમ બન્યા છે. 15 માર્ચ સુધીમાં 152 નગરપાલિકાઓમાં મેળાનું આયોજન રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. 15 માર્ચ 2026 સુધીમાં ગુજરાતની તમામ 152 નગરપાલિકાઓમાં આ સ્વદેશી મેળાઓ (શોપિંગ ફેસ્ટિવલ) પૂર્ણ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ઝોનની 38 નગરપાલિકાઓમાં મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ટૂંકા ગાળામાં જ 1 લાખથી વધુ નાગરિકોએ આ મેળાઓની મુલાકાત લઈને સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરી છે, જેના પરિણામે 83 લાખથી વધુનું વેચાણ નોંધાયું છે. કારીગરો અને ફેરિયાઓ માટે રોજગારીની તક આ મેળાઓમાં સમાજના વિવિધ વર્ગોને આવરી લેવામાં આવ્યા છે. આયોજન મુજબ, સ્વસહાય જૂથો (SHG) માટે 1500થી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉપરાંત, શેરી ફેરિયાઓ માટે 1400થી વધુ સ્ટોલ અને અન્ય નાના કારીગરો માટે 1650થી વધુ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાણીપીણીના શોખીનો માટે પણ 1200 જેટલા સ્ટોલ તૈયાર કરાયા છે, જ્યાં મુલાકાતીઓ પ્રાદેશિક વાનગીઓનો લ્હાવો માણી શકશે. ગત વર્ષની સફળતા બની પ્રેરણાસ્ત્રોત સ્વદેશી મેળાઓના આ વ્યાપક આયોજન પાછળ ગત વર્ષની ભવ્ય સફળતા જવાબદાર છે. ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના 16 મુખ્ય શહેરોમાં 'પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી ફેસ્ટિવલ' યોજાયા હતા. તે સમયે આશરે 40.50 લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી અને 10 કરોડથી વધુનું જંગી વેચાણ થયું હતું. આ જ સફળતાને હવે છેવાડાની નગરપાલિકાઓ સુધી વિસ્તારવામાં આવી રહી છે, જેથી નાનામાં નાનો કારીગર પણ આર્થિક રીતે સદ્ધર બની શકે. યોજનાઓ દ્વારા આત્મનિર્ભરતા તરફ પ્રયાણ ગુજરાત સરકાર માત્ર મેળા પૂરતી સીમિત નથી, પરંતુ વિવિધ યોજનાઓ દ્વારા સતત કારીગરોને પીઠબળ પૂરું પાડી રહી છે. 'ગુજરાત આત્મનિર્ભર યાત્રા', 'જી-મૈત્રી યોજના' અને 'મહિલા ઉદ્યોગ સહાય યોજના' જેવી પહેલો દ્વારા હસ્તકલા અને નાના ઉદ્યોગોને નવી દિશા મળી છે. વડાપ્રધાનના મતે સ્વદેશી અપનાવવું એ જ 'વિકસિત ભારત' તરફ જવાનો રાજમાર્ગ છે. ગુજરાત સરકાર આ માર્ગ પર મક્કમતાથી આગળ વધી રહી છે જેથી દરેક નાગરિક 'વોકલ ફોર લોકલ'નો સાચો વાહક બને.
ભારતને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના વિઝન સાથે ગુજરાત ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમકવા તૈયાર છે. આગામી 1 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026'ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાના સંકલ્પને વેગ આપવા માટે આ કોન્ફરન્સ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ તથા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થશે. આ પ્રસંગે કેન્દ્રીય આઈટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ-ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ખાસ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડશે. આ વર્ષની કોન્ફરન્સની થીમ ‘ગુજરાત: ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’ રાખવામાં આવી છે. આ થીમ સ્પષ્ટ કરે છે કે ગુજરાત માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચનું મુખ્ય કેન્દ્ર બનવા સજ્જ છે. રાજ્ય પાસે રહેલું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેડિકેટેડ ઔદ્યોગિક કોરિડોર અને ઉદ્યોગ સાનુકૂળ નીતિઓને કારણે વિશ્વના મોટા રોકાણકારો માટે ગુજરાત પહેલી પસંદ બની રહ્યું છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં દુનિયાભરના નામી CEOs અને નીતિ નિર્માતાઓ એક મંચ પર આવશે. જેમાં મુખ્યત્વે TEPLના સીઇઓ રણધીર ઠાકુર, માઈક્રોન ટેક્નોલૉજીના સીઇઓ સંજય મેહરોત્રા, CG સેમીના ચેરમેન જી. સી. ચતુર્વેદી, અને કેન્સ ટેક્નોલૉજીના રમેશ કુન્હીકન્નન જેવા દિગ્ગજો ભાગ લેશે. આ ઉપરાંત SEMIના સીઇઓ અજિત મનોચા અને જ્યોર્જિયા ટેકના પ્રોફેસર રાવ તુમ્માલા પણ પોતાના વિચારો રજૂ કરશે. આ મહાનુભાવોની હાજરી ગુજરાતના સેમિકન્ડક્ટર વિઝનમાં વિશ્વના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. કોન્ફરન્સના પ્રથમ દિવસે વિવિધ થીમેટિક પેનલ્સ અને રાઉન્ડ ટેબલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેક્સ્ટ જનરેશન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ધોલેરા અને સાણંદ જેવા ઉભરતા હબ માટે લોજિસ્ટિક્સ સજ્જતા અને નિકાસની ક્ષમતા પર ઊંડાણપૂર્વક મંથન થશે. વિશેષ કરીને ભારતની ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) થી લઈ રેઝિલિયન્ટ કોમ્પોનેન્ટ્સ સુધીના મુદ્દાઓ આવરી લેવાશે. આ ઉપરાંત, 'સિલિકોનથી વિદ્યાર્થીઓ સુધી' નામના વિશેષ સેમિનાર દ્વારા ભાવિ પેઢીને આ ક્ષેત્રમાં તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવશે. જાપાન અને તાઇવાન સાથેના કન્ટ્રી-સ્પેસિફિક રાઉન્ડ ટેબલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગના નવા દ્વાર ખુલશે. કોન્ફરન્સના બીજા દિવસે ડેલિગેટ્સ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે ગાઇડેડ ટુરનું આયોજન કરવામાં આવ્યું છે. GSEM અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા આયોજિત આ ટુર દ્વારા રોકાણકારો ગુજરાતના મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને જમીન સ્તરની તૈયારીઓને પ્રત્યક્ષ નિહાળી શકશે. આ કોન્ફરન્સને માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને કેન્સ સેમિકોન જેવી કંપનીઓનું સમર્થન પ્રાપ્ત છે. સાથે જ JETRO (જાપાન), KOTRA (કોરિયા), ઇન્વેસ્ટ ઇન્ડિયા, SEMI અને IESA જેવા નોલેજ પાર્ટનર્સ પણ આ અભિયાનમાં જોડાયા છે. આ વ્યાપક ભાગીદારી દર્શાવે છે કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત હવે વૈશ્વિક ચિપ ઉત્પાદન ઉદ્યોગમાં નેતૃત્વ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સુરક્ષામાં વધારો કરવાના હેતુથી રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે જામનગરથી લાખાબાવળ વચ્ચેના 10 કિમીના નવા રેલવે સેક્શનનું કામ પૂર્ણ થતા હવે તેની અંતિમ ચકાસણી કરવામાં આવનાર છે. 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ રેલ સેફ્ટી કમિશનર (CRS) દ્વારા આ નવનિર્મિત લાઈનનું ગહન નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. જામનગર-લાખાબાવળ સેક્શનમાં તૈયાર કરવામાં આવેલી નવી અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈન પર ટ્રેનોની સ્થિરતા અને ટેકનિકલ માપદંડો ચકાસવા માટે ખાસ સ્પીડ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ દરમિયાન ટ્રેન 120 કિમી/કલાકની પ્રચંડ ગતિએ દોડાવવામાં આવશે. આ ટ્રાયલનો મુખ્ય હેતુ નવી લાઈન હાઈસ્પીડ ટ્રેન સંચાલન માટે કેટલી સક્ષમ છે તે ચકાસવાનો છે. રેલવે પ્રશાસન દ્વારા જામનગર અને લાખાબાવળ વિસ્તારના નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, પરીક્ષણના દિવસે રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવવું. 120 કિમીની ઝડપે દોડતી ટ્રેન અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, તેથી ટ્રેક ઓળંગવો અથવા તેની નજીક જવું જીવલેણ બની શકે છે. સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવા અને તંત્રને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. એકવાર રેલ સેફ્ટી કમિશનર દ્વારા સુરક્ષા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, આ 10 કિમીના સેક્શનમાં 110 કિમી/કલાકની ઝડપે ટ્રેનો ચલાવવાની મંજૂરી મળવાની શક્યતા છે. આ ડબલિંગ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ટ્રેનોના ક્રોસિંગમાં થતો સમય બચશે, ટ્રેનોની ગતિ વધશે અને મુસાફરોને વધુ સુદ્રઢ તેમજ ઝડપી પરિવહનનો અનુભવ મળશે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFC કંપનીની સામે આવેલા હરિભાઈ એસ્ટેટ ખાતેના બાઈકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના કારણે ગોડાઉનમાં દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા અનેક બાઈક બળીને ખાખ થઈ જતા માલિકને લાખોનું નુકસાન થયું હતું. આ આગ અંગેની જાણ જાણ થતાં જ ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ ગોડાઉનની અંદર ઝડપથી પ્રસરતા 86 બાઈકો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં મોટાભાગની નવી બાઈકો હતી. આ મામલે ફાયર વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફાયર બ્રિગેડની ટીમને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં બે કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કરણ કે આગ બાઇકમાં હોવાથી વધુ વિકરાળ બની જતી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ ઘટનાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ગોડાઉન માલિકને મોટાપાયે ભારે નુકસાન થયું છે. આ ઘટના અંગે ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમના સબ ફાયર ઓફિસર મુકુંદરાજ પટેલે જણાવ્યું હતું કે, બાઈકના ગોડાઉનમાં આગ લાગતા અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ આગમાં 86 બાઈકો બળીને ખાખ થઈ ગઈ છે. લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને માલિક અહીંયા આવ્યા હતા. આ આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ બહાર આવશે.
વડોદરા શહેરમાં છાતીમાં દુખાવો થયા બાદ બે દર્દીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બંનેને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. આ મામલે પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ડેપો પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજુભાઈ શનાભાઈ વસાવા (ઉંમર વર્ષ 51) ને રાત્રે અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગામમાં રહેતા કિરણ દત્તાત્રેયભાઇ ( ઉંમર વર્ષ 62) ને રાત્રે ચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેઓને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. આ મામલે માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બંને બનાવોમાં દર્દી આધેડ અને વૃદ્ધ છે. બંને કિસ્સામાં દર્દીને ઘરે છાતીમાં દુખાવો થાય છે અને બાદમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે જ્યાં બંનેને સારવાર માટે તે પહેલા જ દમ તોડી દે છે. બંને દર્દીઓના સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે. મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. હાલમાં આ મામલે પોલીસે અકસ્માતે મોત અંગેનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં વીજ બિલ બાકીદારો સામે કાર્યવાહી:PGVCL દ્વારા 290 ટીમો તૈનાત, 11.81 કરોડ વસૂલવાનો લક્ષ્યાંક
અમરેલી જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આજે, 25મી તારીખથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત, વીજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોના કનેક્શન કાપવામાં આવશે. આ ડ્રાઇવમાં રૂ. 5,000થી વધુનું બિલ બાકી હોય તેવા 5,625 વીજ કનેક્શનને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. PGVCLનો રૂ. 11.81 કરોડની બાકી રકમ વસૂલવાનો લક્ષ્યાંક છે. આ કામગીરી માટે જિલ્લાના 29 સબ-ડિવિઝનમાં દસ-દસ માણસોની કુલ 290 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ મેગા ડ્રાઇવ અમરેલી જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં શહેર, ગ્રામ્ય વિસ્તારો અને દરિયાઈ કોસ્ટલ બેલ્ટનો સમાવેશ થાય છે. PGVCLના અધિક્ષક ઈજનેર જયેશ દહીંયાંએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું કે, કોર્પોરેટ ઓફિસની સૂચનાથી આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવનું આયોજન કરાયું છે. ગ્રાહકોના સ્થળ પર જઈને વીજ કનેક્શન કાપવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકે ઓફિસમાં આવીને બિલ ભરવાનું રહેશે અને રીકનેક્શન દંડ સાથે વીજ જોડાણ ફરી ચાલુ કરવામાં આવશે. જયેશ દહીયાએ વધુમા જણાવ્યું કે, મારા 29 સબ-ડિવિઝનમાં પર સબ-ડિવિઝન 10 ટીમ એટલે કે 290 થી પણ વધુ ટીમનું આજે અમે બનાવીને સવારથી જ પ્લાનિંગ કરી દીધું છે. આજે અમારી બધી જ કચેરીઓમા વીજ સબ-ડિવિઝન ઓફિસીસમાં પેમેન્ટ કરવા માટેની લાંબી કતારો પણ અત્યારથી ચાલુ થઈ ગઈ છે, એના મને વિઝ્યુઅલ આવવા માંડ્યા છે. અને આજના ટાર્ગેટમાં અમારે આ 11.81 કરોડ ગમે તે ભોગે વસૂલ કરવાનો ટાર્ગેટ છે. ત્યારબાદ અમે આજની તો ઠીક છે પણ આવતા ત્રણ દિવસમાં 26, 27 અને 28 તારીખ કંટીન્યુઅસ આ પ્રોગ્રામ રાખવાના છીએ. એટલે મારી અમરેલી વર્તુળ કચેરીના સર્વે વીજ ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે અમે તમારા ઘરે આવીએ એ પહેલાં આપ આપનું વીજ બિલ ભરી દ્યો અને જેથી આપને કોઈ વીજ વિક્ષેપ ન પડે.
પારડી પોલીસે 2.08 લાખનો ગાંજો જપ્ત કર્યો:બે આરોપીઓની ધરપકડ, મુખ્ય સપ્લાયર પણ ઝડપાયો
વલસાડ જિલ્લાના પારડી પોલીસે એક સફળ ઓપરેશન હાથ ધરી ₹2.08 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹2,08,726નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને 24 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે ચોક્કસ બાતમી મળી હતી કે ગેરકાયદેસર ગાંજાની હેરફેર થઈ રહી છે. આ બાતમીના આધારે ભેંસલાપાડા ત્રણ રસ્તા, પરીયા રોડ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન, પોલીસે શંકાસ્પદ સુપર કેરી ટેમ્પો (નંબર GJ-15-AV-7381)ને રોક્યો અને તેની તપાસ કરી. તપાસ કરતાં ટેમ્પોમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો. વલસાડ FSLની પ્રાથમિક તપાસમાં આ વનસ્પતિ ગાંજો હોવાની પુષ્ટિ થતાં પોલીસે તાત્કાલિક એક આરોપીની ધરપકડ કરી. સ્થળ પરથી પ્રકાશસિંહ કામેશ્વરસિંહ રાજપૂત (ઉંમર 38, રહેવાસી સાઈ વાટીકા એપાર્ટમેન્ટ, બાલદા GIDC, પારડી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન, મુદ્દામાલ સપ્લાય કરનાર નીતિન નાગેશ્વર સાહુનું નામ સામે આવ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં નીતિન સાહુની પણ ધરપકડ કરી. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 74.275 ગ્રામ ગાંજો (અંદાજિત કિંમત ₹3,726), એક સુપર કેરી ટેમ્પો (કિંમત ₹2,00,000), અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000)નો સમાવેશ થાય છે. આમ, કુલ ₹2,08,726નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રકાશસિંહે આ ગાંજો દમણના પાતલીયા વિસ્તારમાં રહેતા બીપીનભાઈ નામના વ્યક્તિ પાસેથી છૂટક વેચાણ માટે મેળવ્યો હતો. પોલીસે બીપીનની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બીપીન સાહુની પણ ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે પારડી પોલીસે NDPS એક્ટની કલમ 8(c), 20(b) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પી.આઈ. જી.આર. ગઢવી અને પી.એસ.આઈ. બી.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
નર્મદાના નીર પાલનપુરના મલાણા તળાવમાં પહોંચ્યા:મલાણા ગામના ખેડૂતોએ વધામણાં કર્યા, ભૂગર્ભ જળ ઊંચા આવશે
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મલાણા ગામના તળાવમાં આખરે નર્મદાના નીર પહોંચ્યા છે. આનાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે તેમની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. નર્મદાના પાણી તળાવમાં પહોંચતા ખેડૂતોએ શ્રીફળ વધેરીને તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મલાણા તળાવને નર્મદાના પાણીથી ભરવાની માંગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી. આ માંગણીને લઈને આશરે બે વર્ષ પહેલાં એક મોટું જન આંદોલન છેડાયું હતું. આ આંદોલનમાં મલાણા સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે રેલી સ્વરૂપે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી, અને ખેડૂત આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે આ માંગણી સ્વીકારાતા અને નર્મદાના નીર મલાણા તળાવમાં પહોંચવાથી મલાણા સહિત આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. જેના પરિણામે ખેતી અને પશુપાલન માટે પાણીની સમસ્યા હળવી થશે.
ગુજરાત રાજ્ય માહિતી આયોગ સમક્ષ થયેલી મહત્ત્વપૂર્ણ સુનાવણીમાં ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક તથા જાહેર માહિતી અધિકારી પારૂલ મણિયારની કાર્યપદ્ધતિ પર આયોગે કડક વલણ દાખવ્યું છે. માહિતી અધિકાર કાયદાની ભાવનાને અવગણતી અને અરજદારને ગેરમાર્ગે દોરતી કામગીરી બદલ આયોગે તીવ્ર ઠપકો આપ્યો છે. 10 દિવસમાં અરજદારે માંગેલી માહિતીનો સ્પષ્ટ જવાબ આપવા આદેશસુનાવણી દરમિયાન રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલે સ્પષ્ટ જણાવ્યું કે, જાહેર માહિતી અધિકારી દ્વારા ફરિયાદી હરેશ સિસારાથી માંગેલી માહિતી વગર જ રૂ. 530 નકલ ફી વસૂલવી કાયદાની ભાવનાને આંચકો પહોંચાડે છે. આ સાથે જ આયોગે 30 દિવસમાં આ રકમ પરત કરવા અને 10 દિવસમાં અરજદારે માંગેલી માહિતીનો સ્પષ્ટ જવાબ આપવા આદેશ કર્યો છે. 'અભિપ્રાય' અને 'દસ્તાવેજ' વચ્ચેનો તફાવત ન સમજવો ગંભીર ભૂલસુનાવણી દરમિયાન જાહેર માહિતી અધિકારીએ પોતાના બચાવમાં અખબાર નોંધણી રજીસ્ટરની નકલ આપીને 'અભિપ્રાય' આપ્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આયોગે આ દલીલને કડક શબ્દોમાં નકારી કાઢી અને જણાવ્યું કે 'અભિપ્રાય' અને 'દસ્તાવેજની નકલ' વચ્ચેનો તફાવત ન સમજવો એ ગંભીર અયોગ્યતા છે. આયોગે જણાવ્યું કે, જો માંગેલી માહિતી રેકોર્ડ પર ઉપલબ્ધ ન હોય તો સ્પષ્ટપણે તે બાબત લેખિતમાં જણાવવાની ફરજ જાહેર માહિતી અધિકારીની છે. બિનજરૂરી દસ્તાવેજોની નકલ આપી નાગરિક પાસેથી ફી વસૂલવી એ માહિતી અધિકાર કાયદાનો સીધો દુરૂપયોગ ગણાય. અધિકારીના હુકમનો સહારે જવાબદારી ટાળવી એ પ્રશાસનિક અહંકારફરિયાદીએ માહિતી અધિકાર અધિનિયમની કલમ 20(1) અને 20(2) હેઠળ દંડ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જોકે આયોગે હાલના તબક્કે જાણબૂઝીને માહિતી અટકાવવાનો બદઇરાદો સાબિત ન થતા દંડ ન લગાવવાનો નિર્ણય કર્યો. તેમ છતાં ભવિષ્યમાં આવી બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે. અધિકારીના હુકમનો સહારો લઈને જવાબદારી ટાળવી એ પ્રશાસનિક અહંકારનું ઉદાહરણ છે. યોગ્ય અને કાયદેસર નિર્ણય લેવાની સંપૂર્ણ જવાબદારી જાહેર માહિતી અધિકારીની જ રહે છે. અધિકારીઓએ વધુ સાવચેતી અને પારદર્શકતા સાથે કામ કરવું પડશેઆ હુકમથી સ્પષ્ટ થાય છે કે માહિતી અધિકાર કાયદો કોઈ વિભાગની કૃપા પર આધારિત નથી, પરંતુ નાગરિકનો મૂળભૂત અધિકાર છે. જો અધિકારીઓ કાયદાને હલ્કે લેવાની ભૂલ કરશે તો રાજ્ય માહિતી આયોગ જાહેરમાં આવી રીતે ફટકાર લગાવવા અને કાર્યવાહી કરવા હચકશે નહીં. આદેશ બાદ પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે હવે માહિતી અધિકારીઓએ વધુ સાવચેતી અને પારદર્શકતા સાથે કામ કરવું પડશે.
પોરબંદરમાં PGVCLની મેગા ડિસકનેક્શન ડ્રાઈવ:40 કરોડના બાકી લેણાં વસૂલવા 410 ટીમો મેદાનમાં
પોરબંદર PGVCL સર્કલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આજે સવારથી જ એક મોટી ડિસકનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ, પોરબંદર વિભાગીય કચેરી હેઠળ આવતા કેશોદ, માંગરોળ, પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બે મહિના કે તેથી વધુ સમયથી બિલ ન ભરનારા ગ્રાહકોના વીજ જોડાણો કાપવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે કુલ 410 વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે વિવિધ વિસ્તારોમાં ફરીને વીજ જોડાણો કાપી રહી છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્થળ પર ફક્ત રૂ. 10,000 સુધીની રોકડ રકમ સ્વીકારવામાં આવશે. રૂ. 10,000 થી વધુની બાકી રકમ માટે ગ્રાહકોએ કચેરીએ જઈને અથવા ઓનલાઈન ચુકવણી કરવી પડશે. મળતી માહિતી મુજબ, પોરબંદર શહેર અને જિલ્લામાં અંદાજે 40 કરોડ રૂપિયાના વીજ બિલોની વસૂલાત બાકી છે. PGVCL એ સ્પષ્ટ કર્યું છે કે ગઈકાલ સાંજ સુધીમાં જે ગ્રાહકોએ ઓનલાઈન બિલ ભરી દીધા છે, તેમના બિલ માન્ય ગણાશે અને તેમના કનેક્શન કાપવામાં આવશે નહીં. જોકે, બે મહિનાથી બાકી બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. આજે વહેલી સવારથી જ શહેરના મુખ્ય વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં PGVCLની ટીમો સક્રિય જોવા મળી હતી. અનેક સ્થળોએ વીજ જોડાણો કાપી નાખવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે ગ્રાહકોના કનેક્શન કપાયા છે, તેમને બાકી રકમની સાથે 'રી-કનેક્શન ચાર્જ' ભર્યા બાદ જ ફરીથી વીજળી મળી શકશે. તંત્ર દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે અંધારપટ અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તાત્કાલિક પોતાના બાકી વીજ બિલોની ભરપાઈ કરી દે.
મહેસાણા શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો અને ગાર્ડ રૂમમાં દાખલ કરવામાં આવેલો એક કેદી પોલીસની નજર ચૂકવી અંધારાનો લાભ લઈ નાસી છૂટતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. બહુચરાજી પોલીસ મથકના ચોરી ગુનામાં સંડોવાયેલો આ આરોપી પોલીસ કર્મચારી લઘુશંકા માટે ગયા તે બે મિનિટના સમયગાળામાં જ જાળી ખોલીને ભાગી છૂટ્યો હતો. મહેસાણા સબજેલમાંથી પાંચ આરોપીઓને સારવાર અર્થે સિવિલ લવાયામહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. સવધાનજી ખોડાજી અને અન્ય પોલીસ કર્મચારીઓ ગત સાંજે મહેસાણા સબજેલમાંથી પાંચ આરોપીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જે પૈકી ચિરાગ બાબુભાઈ મિસ્ત્રી (રહે. મંડાલી, તા. બહુચરાજી) અને રોશનલાલ ખત્રી નામના બે આરોપીઓને તબીબની સલાહ મુજબ સિવિલના ગાર્ડ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપી એક્સ-રે રૂમ તરફ ભાગતો દેખાયો હતોસાંજના સમયે એ.એસ.આઈ. સવધાનજી ગાર્ડ રૂમની જાળી બંધ કરીને બહાર હાજર હતા. દરમિયાન રાત્રે આશરે 7.48 વાગ્યે તેઓ બાજુમાં આવેલા બાથરૂમમાં ગયા હતા અને માત્ર બે જ મિનિટમાં એટલે કે 7.50 વાગ્યે પરત ફરતા ગાર્ડ રૂમની જાળી ખુલ્લી જોવા મળી હતી. તપાસ કરતા આરોપી ચિરાગ મિસ્ત્રી ત્યાં હાજર નહોતો. પોલીસ કર્મચારીએ તાત્કાલિક બહાર દોડીને તપાસ કરતા આરોપી એક્સ-રે રૂમ તરફ ભાગતો દેખાયો હતો, પરંતુ અંધારાનો લાભ લઈ તે નજરથી દૂર થઈ ગયો હતો. કાયદેસરના જાપ્તામાંથી નાસી છૂટવા બદલ આરોપી વિરુદ્ધ ફરિયાદઆ ઘટના અંગે એ.એસ.આઈ. દ્વારા તાત્કાલિક હેડ ક્વાર્ટરના હાજરી માસ્તર અને કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમોએ સિવિલ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આરોપીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે કાયદેસરના જાપ્તામાંથી નાસી છૂટવા બદલ આરોપી ચિરાગ મિસ્ત્રી વિરુદ્ધ મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગાંધીનગરના રાયસણ ટેક્સાસ કન્સ્ટ્રકશન સાઇટ પાસેના આંબાવાડી ફાર્મ હાઉસમાં 40 વર્ષીય મજૂરની ગળેટુંપો આપી ઝાડ સાથે લટકાવેલી લાશ મળી આવતા ચકચાર....ઇન્ફોસિટી પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી.. પોલીસના પ્રાથમિક અનુમાનમાં પહેલા ગળેટુંપો આપી લાશને ઝાડે લટકાવી દેવામાં આવી છે. હાલમાં પોલીસે છ થી વધુ શકમંદો ની પૂછતાછ હાથ ધરી છે.. લાશની પાછળ હાથ બાંધેલા હતા આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
દાડમ ભરેલી આઈસર ગાડી સળગી, ડ્રાઇવર-કંડક્ટર દાઝ્યા:પાટડીના માલવણ હાઈવે પર અકસ્માત બાદ ઘટના
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ કચ્છ હાઈવે પર અખિયાણા અને ધર્મઠ પાસે દાડમ ભરેલી આઈસર ગાડી અકસ્માત બાદ સળગી ઉઠી હતી. આ ગોઝારી ઘટનામાં ડ્રાઇવર અને કન્ડકટર દાઝ્યા હતા. બન્નેને દાઝેલી હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ કચ્છ હાઈવે પર અખિયાણા અને ધર્મઠ ગામ વચ્ચે હળવદથી દાડમ ભરીને આવી રહેલી આઈસર ગાડીના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઈ આગળ જતા વાહન સાથે અથડાયા બાદ દાડમ ભરેલી આઈસર ગાડી ભડભડ સળગી ઉઠી હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જયારે અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ત્યાંથી જતો રહ્યો હતો. જયારે આઈસર સળગી ઉઠતા આઈસરમાં સવાર ડ્રાઇવર અને કંડક્ટર દાઝી ગયા હતા. જેમાં આ ગોઝારી ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટર સમય સૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જતા સદભાગ્યે મોટી જાનહાની ટળવા પામી હતી. જયારે ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર દાડમ ભરેલી આઈસર ગાડી સળગી ઉઠતા ભારે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. જયારે આ ગોઝારી ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટરને દાઝેલી હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. જયારે આ ઘટનાની જાણ થતાં પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અને એક કલાકની ભારે જહેમત બાદ આઈસર ગાડીમાં લાગેલી ભયાવહ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જયારે આ બનાવ અંગે બજાણા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ ગોઝારી ઘટનામાં દાડમ સહીત આખી આઈસર ગાડી પળવારમાં બળીને ખાખ થઇ ગઈ હતી.
વડોદરા બ્રેકિંગ વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે રીક્ષા, કાર અને સ્કૂટરને અડફેટે લીધા ત્રણ લોકો ઈજાગ્રસ્ત, કાર પર પોલીસ લખેલું હતું એસઆરપી જવાન રાજેશ ધનજી ભાઈ પાંડવે દારૂ પીને અકસ્માત સર્જાયો આરોપી SRP જવાન ગ્રુપ 12 ગાંધીનગર ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે કારમાંથી દેશી દારૂ અને ગ્લાસ મળ્યા આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી આરોપી અકસ્માત કર્યા બાદ કારમાંથી નીકળતો નહોતો, જેથી સ્થાનિક લોકોએ કારના કાચ તોડીને તેને બહાર કાઢ્યો, મેથીપાક ચખાડ્યો ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો DCP ઝોન 3 અભિષેક ગુપ્તા પણ ઘટના સ્થળે પહોંચ્યા પાર્ક કરેલી કારને પણ અડફેટે લીધી
રાજકોટનાં જંગલેશ્વરમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જેમાં 1500થી વધારે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની આ કાર્યવાહીથી અનેક લોકો બેઘર બન્યા છે. આ રીતે બેઘર બનેલા લોકોની સ્થિતિ એમની જુબાની સાંભળવા દિવ્ય ભાસ્કર બેઘર બનેલા પરિવાર પાસે પહોંચ્યું હતું. કોઈ બેઘર પરિવારોને સગા અને સંબંધીએ આશરો આપ્યો તો કોઈ માટે પહેલો સગો પાડોશી બન્યો, તો અમુક પરિવાર તો એવા નિકળ્યા જેમને વિસ્તાર છોડવા મજબુર બનવું પડ્યું. આ તકે 40 વર્ષની દિવ્યાંગ પુત્રીની માતાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'મારી પુત્રી સાવ પથારીવશ છે, હું સામાન તો રસ્તા ઉપર રાખું પણ દીકરીનું શું કરૂ?'. જોકે મ્યુ. કમિશનરે જંગલેશ્વરનાં લોકો માટે વર્ષ 2011-12માં આવાસ ફાળવ્યાનો લુલો બચાવ કર્યો હતો. 'મેં ભઠ્ઠામાંથી ઈંટો ઉપાડી-ઉપાડીને બનાવેલું મકાન પાડી દીધું'ડિમોલિશનમાં પોતાનું ઘર ગુમાવનાર પરિવારના મોભી હલીમાબેને જણાવ્યું હતું કે, મારા પરિવારમાં અમે 8 લોકો છીએ, છેલ્લા 50-52 વર્ષથી ત્યાં રહેતા હતા. મેં ભઠ્ઠામાંથી ઈંટો ઉપાડી-ઉપાડીને મકાન બનાવ્યું હતું, એ મકાન લઈ લીધું છે. મારા પતિ પણ કાંઈ કામ કરી શકતા નથી. મારો અપંગ દીકરો મજૂરી કરીને ભરણપોષણ કરે છે, મારે એક અપંગ દીકરી પણ છે. 'ફૂટપાથ પર સામાન રાખી અને કોઈના આશરે ક્યાં સુધી રહેવું?'અમારા સંબંધી સારા છે એટલે તેમણે આશરો આપ્યો છે. પણ ક્યાં સુધી રાખી શકશે?. આટલા જુલમ ન કરો, જરાક કુદરતનો ડર રાખો, અમે કેટલા દુઃખી છીએ તે તો જુઓ. હાથપગ હોય તેવા લોકો પણ પરેશાન થાય છે, તો અમારા ઘરમાં તો બે વિકલાંગ છે. જેમાં દીકરી સાવ પથારીવશ છે અને દીકરો દિવ્યાંગ હોવા છતાંય મજૂરી કરીને ઘર ચલાવે છે. બંને જુડવા છે, 42 વર્ષના થયા છે. તો મારે શું કરવું અને આમ દિવસો કેમ કાઢવા ?. ફૂટપાથ પર સામાન રાખી અને કોઈના આશરે ક્યાં સુધી રહેવું ?, મકાન ભાડે મળતા નથી. 5 હજાર હતા ત્યાં હવે 10 હજાર લે છે તેમાં પણ 4 લોકોને રહેવાનું હોય છે, તો અમારે બાકીના 4 વ્યક્તિને ક્યાં રાખવા?, આવી રીતે અમારે જિંદગી કેમ જીવવી?. દિવ્યાંગ હોવા છતાં મજૂરી કરીને 8 લોકોનું ગુજરાન ચલાવું છુંદિવ્યાંગ હારુનભાઈ સુમરાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મારા ઘરમાં 8 સભ્યો છીએ. મારુ મકાન ડિમોલિશ કરાયું છે. અમે ભાઈ-બહેન દિવ્યાંગ છીએ. તંત્ર અમને જવાબ આપતું નથી. મારા બહેન સંપૂર્ણપણે પથારીમાં છે. હું મજૂરી કરી 8 લોકોનું ગુજરાન ચલાવું છું. મારા ઘર માટે હું મામલતદાર, કલેક્ટર તેમજ કમિશ્નર પાસે પણ ગયો હતો, જોકે મને મળવા દીધો જ નહીં. સાહેબ મિટિંગમાં છે કહીને સાંજે 6:30 સુધી બેસાડી રાખ્યો હતો. જેની સાબિતી તરીકે ત્યાંના કેમેરા ચેક કરી શકો છો. તેમાં પણ મારો વીડિયો હશે. મારો સામાન થોડો-થોડો કરીને ચાર જગ્યાએ રાખ્યો છે. હાલ સંબંધીનાં ઘરે આશરો લીધો છે અને કોઈ આપે ત્યારે જમીએ છીએ. હવે શું કરવું ?, અમને આવાસ યોજનાનાં ક્વાર્ટર આપવામાં આવે તેવી મારી માગ છે. એટલા રૂપિયા પણ નથી કે એલોટ થયેલું કવાર્ટર લઈ શકીએગુલામ અહેમદભાઈએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું કે, અમે ઘરમાં 7 સભ્યો છીએ. હું અને મારા પત્ની તેમજ મારો ભાઈ વિકલાંગ છીએ. અમારું ઘર તોડી પાડવામાં આવ્યું છે, જેની સામે બે-બે ભાઈઓ વચ્ચે એક ક્વાર્ટર એલોટ થયું છે, પણ એટલા રૂપિયા ભરી શકીએ તેમ નહીં હોવાથી અમને મળ્યું નથી. દિવ્યાંગ, બિમાર અને અશક્ત વૃદ્ધો બેઘર બનતા લાચાર થયા અમારી વિનંતી છે સરકારને કે રહેમ રાખો તમારે પણ ઉપર જઈને જવાબ દેવાનો છે. મારા જેવા અનેક લોકો છે કેટલાક દિવ્યાંગ છે, તો કેટલાકનાં ઘરમાં બિમાર અને અશક્ત વૃદ્ધો રહે છે, આ બધાના મકાન પડી ગયા છે. આ બધા જરૂરિયાતમંદ લોકોને જે મકાન બનેલા છે તે તો સોંપી દો. પૈસા ભરી શકતા હોઈએ તો અગાઉ લઈ લીધા હોત. અમે 25-30 વર્ષથી અહીં રહેતા હતા. હાલ સામાન મારા મોટાભાઈનાં ઘરે રાખ્યો છે, તેમાંથી પણ કેટલોક સામાન તો ઘરની બહાર પડ્યો છે. તેમજ મહિલાઓને તેમના ઘરમાં આશરો આપ્યો છે, અમે તો રાતભર બહાર જ સુઈ જઈએ છીએ. ત્યારે આવાસની વ્યવસ્થા કરી દેવા સરકારને વિનંતી છે. અમારું 60 વારનું મકાન એક જ વાર નોટિસ આપીને તોડી પાડ્યુંઅન્ય એક દિવ્યાંગ ડોઢિયા અનિષ સતારભાઈ સુમરાએ દિવ્ય ભાસ્કર સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું કે, અમારું બે ભાઈઓનું 60 વારનું મકાન હતું. જે એક જ નોટિસ આપીને પાડી નાખવામાં આવ્યું છે. હું કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું. અત્યારે મારા ભાઈ દ્વારા મને આશરો આપવામાં આવ્યો છે. મારા પત્ની અને બાળકો રમઝાન કરવા મારા સાસરે ગયા છે. બાળકો સરકારી શાળામાં ભણે છે. સરકાર નાના માણસો માટે કાંઈક વિચારે તે જરૂરી છે. ગુનાખોરી અમુક લોકો કરતા હશે તેના માટે હર્ષ સંઘવીએ ખોટા પગલાઓ ભર્યા છે. અહીં આવીને સાચો સર્વે કરવાની જરૂર હતી. 'હવે અમારે વૃદ્ધ માં-બાપને લઈને ક્યાં જવું?'પ્રકાશભાઈ રામજીભાઈ નામના સ્થાનિકે દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, મારી ઉંમર 45 વર્ષની છે. હું રીક્ષા ચલાવવાની સાથે મજૂરીકામ કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. જોકે છેલ્લા સપ્તાહથી કોઈપણ કામ કર્યું નથી. અમારા મકાનો તો લઈ લીધા છે હવે અમારે વૃદ્ધ માં-બાપને લઈને ક્યાં જવું ? તેમની પણ દવાઓ ચાલુ છે. ત્યારે હવે અમને ક્વાર્ટર આપવામાં આવે તેવી મારી માગ છે. પાત્રતા ધરાવતા અરજદારો અરજી કરશે તો તેમને આવાસ ફાળવીશુંઆ અંગે દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મનપાએ વર્ષ 2011-12માં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોને મનપા દ્વારા BSUP-2 યોજના હેઠળ આવસો અપાયા હતા. જે-તે સમયે જ સરકાર દ્વારા બેઝીક સર્વિસ ટુ ધી અર્બન પુઅર યોજના અંતર્ગત 598 આવાસો ફાળવી દેવામાં આવ્યા હતા. જોકે હાલ જંગલેશ્વર વિસ્તારનાં વિસ્થાપિતો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું, પરંતુ આ સિવાય આગળ જતા જો કોઈ પાત્રતા ધરાવતા અરજદારો અરજી કરશે તો તેમને પણ આવાસ ફાળવવાની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સિવાય પણ દિવ્ય ભાસ્કર દ્વારા ત્રણેક લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. જોકે તેઓએ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવાની પણ ના પાડી દીધી હતી, પરંતુ બધાનું કહેવું હતું કે, જંગલેશ્વર ખાતે રહેતા લોકોની છાપ એટલી ખરાબ કરવામાં આવી છે કે, અમને કોઈ મકાન ભાડે આપતું નથી. જો કોઈ આપવા ધારે તો પણ અશાંતધારો નડી જાય છે. આ છતાં જો કોઈ ભાડે આપે તો તે ડબલ કરતા વધારે ભાડાઓ માંગે છે. જે અહીંનાં લોકો આપી શકે તેમ નથી. ત્યારે ફરજીયાત જંગલેશ્વરનાં લોકો જંગલેશ્વરમાં જ કોઈ સગા-સંબંધીને ત્યાં આશરો લેવા મજબુર બન્યા છે. જો કે હાલ જ્યાં આશરો લીધો છે ત્યાં કેટલો સમય રહી શકશે તે નક્કી નથી. ત્યારે ઘર ગુમાવવાનું દર્દ ભૂલીને આવા લોકો સરકાર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માગ કરી રહ્યા છે.
PGVCLએ બોટાદમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરી:19 કરોડથી વધુના બાકી બિલ વસૂલવા 111 ટીમો કાર્યરત
PGVCL દ્વારા બોટાદ જિલ્લામાં બાકી વીજ બિલ વસૂલવા માટે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી સવારથી ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકામાં ચાલી રહી છે.આ ડ્રાઇવ અંતર્ગત, જિલ્લામાં કુલ 111 ટીમો દ્વારા બાકી બિલ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટીમો વીજ બિલ ન ભરનારા ગ્રાહકોના વીજ કનેક્શન કાપી રહી છે.બોટાદ જિલ્લામાં કુલ 2,45,903 વીજ કનેક્શનો નોંધાયેલા છે. તેમાંથી, 1,37,585 કનેક્શન ધારકોના અંદાજે 19 કરોડ અને 24 લાખ રૂપિયાના વીજ બિલ બાકી છે.
રાજકોટ શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલ સુરભી એપાર્ટમેન્ટના 10માં માળેથી છલાંગ લગાવી યુવતી આપઘાત કરે તે પહેલા જ તેને બચાવી લેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 12 માળની બિલ્ડિંગમાં 10 માળે બાલ્કનીમાંથી છલાંગ લગાવવા યુવતી પ્રયાસ કરે છે. વીડિયોમાં પરિવારના સભ્ય તેને ઉપર આવતી રે ઉપર આવતી રે કહી રહ્યા છે અને તે લટકતી હાલતમાં બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી. જો કે તેને તાત્કાલિક બચાવ લેવામાં આવી હતી અને તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના પછી પોલીસમાં કોઈ સત્તાવાર નોંધ થવા પામી નથી. પરંતુ વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. 10માં માળે યુવતી લટકીરાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલા એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં 10માં માળેથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારે જહેમત બાદ તેના પરિવારજને તેને બચાવી લીધી હતી. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનિય છે કે હજુ સુધી સત્તાવાર પોલીસમાં કોઈ નોંધ થઈ નથી. વાવડીથી પાળ રોડ જતા રસ્તે આવેલ આવેલ સુરભી પોસિબલ હાઈટ્સના 10માં માળેથી સમીસાંજે એક યુવતી આત્મહત્યા કરવા જઈ રહી હતી. જે બનાવની તેના પરિવારને જાણ થતા તુરંત દોડી જઈ તેણી નીચે પટકાય તે પહેલા જ તેને પકડી રાખી ભારે જહેમત બાદ સહિસલામત ફલેટમાં પરત લીધી હતી. 'ઉપર આવતી રે ઉપર આવતી રે'સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં પરિવારના સભ્ય તેને કોઈ બાળકનું નામ લઇ સમ આપતા પણ સંભળાય રહ્યા છે અને ઉપર આવતી રે ઉપર આવતી રે કહી રહ્યા છે. રડતા રડતા યુવતીની બચાવ બચાવની બૂમો એટલું જ નહિ યુવતી પણ રડતા રડતા બચાવ બચાવની બૂમો પાડતી સંભળાઈ રહી છે. હાલ આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી કોણ છે અને શા માટે પગલું ભરી રહી છે તેની સત્તાવાર કોઈ નોંધ પોલીસમાં નોંધાઈ નથી. પરંતુ વીડિયો વાયરલ થતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર ડેપોમાં ઇલેક્ટ્રિક બસ વોશિંગ મશીન શરૂ:જિલ્લામાં પ્રથમવાર, 5 મિનિટમાં બસ બહારથી સાફ થશે
સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા એસટી ડેપોમાં બસો ધોવા માટે ઇલેક્ટ્રિક મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીન જિલ્લામાં પ્રથમવાર કાર્યરત થયું છે, જે દૈનિક 61 એસટી બસોનું સંચાલન કરતા આ ડેપોમાં સફાઈ પ્રક્રિયાને ઝડપી બનાવશે. સુરેન્દ્રનગર ડેપોમાં કુલ 66 બસો છે, જેમાંથી 61 બસોનું સંચાલન થાય છે અને દૈનિક 14,000થી વધુ મુસાફરોની અવરજવર રહે છે. આ બસ વોશિંગ મશીન (KRA) માં 5000 લીટરનો એક પાણીનો ટાંકો અને 2000 લીટરનો બીજો ટાંકો છે, જેમાં 2 લીટર શેમ્પૂ ઉમેરવામાં આવે છે. આ શેમ્પૂ મિશ્રણ 2 થી 3 દિવસ ચાલે છે. મશીન દ્વારા બહારથી એક બસને ધોવામાં માત્ર 5 મિનિટનો સમય લાગે છે. આ મશીન 8 કલાકમાં બહારથી 30 બસોને સાફ કરી શકે છે. જો બસના અંદરના ભાગની સફાઈ હાથથી પાણીની નળી વડે કરવામાં આવે તો એક બસ પાછળ અડધો કલાકનો સમય લાગે છે. મશીન અને અંદરના ભાગની સફાઈ બંને કરવામાં આવે તો 8 કલાકમાં 15 બસો ધોઈ શકાય છે. આ મશીન ચલાવવા માટે વર્કશોપનો એક ઓપરેટર અને કોન્ટ્રાક્ટરનો એક માણસ એમ કુલ બે વ્યક્તિઓ તૈનાત હોય છે. બસો ધોવા માટે બે પાળીમાં કામગીરી ચાલે છે: સવારે 9 થી સાંજે 4 અને સાંજે 4:30 થી રાત્રિના 12:30 સુધી. રાત્રિ પાળી દરમિયાન 15 બસોને ધોવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં વીજળી બિલના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનમાં 78 ટીમોએ એકસાથે મેદાનમાં ઉતરીને બાકીદારોમાં ચકચાર જગાવી છે. વહેલી સવારથી જ આ ટીમો ઘરો અને વેપારી સંસ્થાઓની બહાર પહોંચી હતી, જેના કારણે અનેક સ્થળોએ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બાકી વીજળી બિલની વસૂલાત કરવાનો છે. PGVCL વેરાવળ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જી.બી. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું કે, વારંવાર નોટિસ, રિમાઈન્ડર અને મુદત આપ્યા છતાં બિલ નહીં ભરનારાઓ સામે કડક પગલાં લેવા એકમાત્ર વિકલ્પ છે. વેરાવળ ડિવિઝન હેઠળના સાત વિસ્તારોમાં ચેકિંગ અને કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં હાઈ પ્રાયોરિટી યાદીમાં સામેલ અંદાજે 1900થી વધુ વીજ જોડાણો કાપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. પ્રથમ તબક્કામાં જ રૂ. 2.60 કરોડ જેટલી બાકી રકમ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી શરૂ થઈ છે. આ કાર્યવાહી આકોલવાડી, પ્રાચી, તાલાલા, સુત્રાપાડા, પ્રભાસ પાટણ, વેરાવળ અને વેરાવળ GIDC જેવા સાતેય સબ-ડિવિઝનમાં એકસાથે 78 ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે. દરેક વિસ્તારમાં અલગ અલગ સ્ક્વોડ બનાવી મીટર ચકાસણી, બાકી રકમની પુષ્ટિ અને સ્થળ પર જ વીજ જોડાણ કાપવાની પ્રક્રિયા ચાલી રહી છે. માત્ર વેરાવળ ડિવિઝનનું જ કુલ બાકી લેણું અંદાજે રૂ. 19 કરોડ જેટલું છે. આટલી મોટી બાકી રકમને કારણે વીજ કંપની પર નાણાકીય દબાણ વધી રહ્યું છે. PGVCL એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે માત્ર ચેતવણી નહીં, પરંતુ સીધી કાર્યવાહી થશે. બાકીદારોને અંતિમ તક તરીકે તરત જ બાકી બિલ ભરવાની અપીલ કરવામાં આવી છે, અન્યથા કાયદેસર દંડાત્મક કાર્યવાહી અને વધારાના ચાર્જિસ લાગુ પડી શકે છે. આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓ અને ઘરમાલિકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. કેટલાક સ્થળોએ સ્થળ પર જ બાકી રકમ ભરાઈ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ તો માત્ર શરૂઆત છે અને જિલ્લાના અન્ય ડિવિઝનોમાં પણ આવા જ મેગા ઓપરેશન હાથ ધરાઈ શકે છે. ગીર સોમનાથમાં PGVCL ની આ આક્રમક ઝુંબેશથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે વીજ વપરાશ કરશો તો બિલ પણ સમયસર ભરવું પડશે, નહીં તો કનેક્શન કાપવામાં આવશે.
હિંમતનગરમાં સુકા ઘાસ ભરેલી આઈશરમાં આગ:વીજ તાર અડકતા ઘટના, ફાયર વિભાગે બુઝાવી
હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં આજે સવારે સુકા ઘાસ ભરેલી એક આઈશર ટ્રકમાં આગ લાગી હતી. ટ્રક વાળતી વખતે વીજળીના તાર અડકી જતાં આ ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયરમેન મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાયત્રી મંદિર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં રાત્રે સુકા ઘાસ ભરેલી આઈશર પાર્ક કરવામાં આવી હતી. બુધવારે સવારે આઈશર બહાર કાઢતી વખતે વીજ વાયર અડકી જતાં સુકા ઘાસમાં આગ લાગી હતી. આગ લાગતા જ આઈશર ચાલક તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. આગની આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોના ટોળા જોવા મળ્યા હતા. આગ લાગવા અંગેનો કોલ મળતા જ ફાયર ટીમ એક મિની ટેન્ડર અને એક બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી. તેમણે આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. લગભગ પોણા કલાક સુધી 5 હજાર લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘાસચારો સંપૂર્ણપણે બળી ગયો હતો, જોકે આઈશર ટ્રકને બચાવી લેવામાં આવ્યો હતો. હાલમાં કુલીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ધ્રોલમાં કાર ન આપતા તોડફોડ:વેપારીએ કાર ફેરવવા ન આપતા શખ્સે ધમકી આપી
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક વેપારીએ પોતાની કાર ફેરવવા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે વેપારીની કારમાં તોડફોડ કરી ધમકી આપી હતી. આ મામલે વેપારીએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રોળના ગોકુલ પાર્ક વિસ્તારમાં રહેતા અને સોમનાથ સિમેન્ટ પ્રોડક્ટના નામે બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતા થોભણભાઈ લાખાભાઈ ભૂંડિયાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેમની GJ 36 AC 0005 નંબરની સ્વિફ્ટ કારના કાચ વગેરેમાં ધોકા મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ કૃત્ય ધ્રોલના બ્રિજરાજસિંહ નિરુભા જાડેજા નામના શખ્સે કર્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી બ્રિજરાજસિંહ જાડેજા અવારનવાર ફરિયાદી પાસેથી કાર હરવા-ફરવા માટે લઈ જતો હતો. તાજેતરમાં વેપારીએ કાર આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો. તેણે વેપારીના પત્ની વગેરેની હાજરીમાં જ ઘર પાસે પાર્ક કરેલી કારના કાચના ભાગમાં ધોકા ફટકારી નુકસાન પહોંચાડ્યું હતું. આરોપીએ વેપારીને ફરીથી કાર ફેરવવા નહીં આપે તો 'પતાવી નાખશે' તેવી ધમકી પણ આપી હતી. આ અંગે ધ્રોલ પોલીસે ફરિયાદ નોંધી છે અને એએસઆઈ ડી.જે. ગાગીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હિંમતનગરમાં જલારામ મંદિરે હિંદુ સંમેલન યોજાયું:RSS શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે આયોજન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે ગત રાત્રે RSS ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે જલારામ વસ્તીનું હિંદુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વસ્તીના અનેક રહીશો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિંદુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતિક રૂપે હિંદુ જાગરણની દિશાને નવી ઊર્જા અને ચેતના પ્રદાન કરવાના હેતુથી હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવા સંમેલનો યોજાઈ રહ્યા છે. આ સંમેલનોથી હિંદુ એકતાને મજબૂત બનાવી સમાજમાં નવી ઊર્જાનો સંચાર કરવાનો લક્ષ્ય છે. જલારામ વસ્તી હિંદુ સંમેલન સમિતિ દ્વારા જલારામ મંદિર પરિસરમાં મંગળવારે રાત્રે આ હિંદુ સંમેલનનું દીપ પ્રાગટ્યથી શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય મહેમાન જીતુભાઈ ઠક્કરે અને માતૃવિશેષ તરીકે મહાત્મા વિધુત્મા બાઈજીએ પ્રસંગોચિત પ્રવચન આપ્યા હતા. મહેન્દ્રદાસ બાપુ અને રુદ્રેશજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા, જ્યારે કમલેશભાઈ ઠક્કરે હનુમાન ચાલીસાનું પઠન કરાવ્યું હતું. મુખ્ય વક્તા અને જિલ્લા બૌદ્ધિક ટોળીના જીતેન્દ્રભાઈ અમૃતભાઈ પટેલે 'હિંદુ સંમેલન કેમ?', 'RSS ની સ્થાપના કોણે કરી?', 'શા માટે?' અને 'સંઘનું કાર્ય શું છે?' જેવા વિષયો પર ઊંડાણપૂર્વક જાણકારી આપી સંબોધન કર્યું હતું. ભારત માતાની આરતી સાથે સંમેલનનું સમાપન થયું હતું. આ સંમેલનનું આયોજન જલારામબસ્તી સંયોજક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે શૈલેષભાઈ જોશીએ સંમેલનનું સંકલન કર્યું હતું. આ પ્રસંગે રમેશભાઈ સોરઠીયા, ભદ્રેશભાઈ પટેલ, જયદીપભાઈ વ્યાસ, પરિમલભાઈ પંડિત સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાલેજ GIDCમાં સ્ટીલકો કંપનીમાંથી ₹4.50 લાખની ચોરી:9 તસ્કરો ઝડપાયા, ₹3.50 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ જિલ્લાના પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં 9 આરોપીઓને ઝડપી પાડી ₹3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કંપનીના જનરલ મેનેજરે સ્ટોરરૂમમાંથી આશરે 3000 કિલોગ્રામ 'ઝીંક બોટમ ડ્રોસ' (કિંમત ₹4.50 લાખ)ની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પાલેજ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ વેચવા માટે સાત શખ્સો પાલેજ ગામના જૂના ભીલવાડા નાકા પાસે એકઠા થયા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી સાતેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં ચોરીનો માલ ખરીદનાર બે મુખ્ય રીસીવરોનાં નામ સામે આવ્યા હતા. પોલીસે વડોદરા અને પાલેજ ખાતેથી વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓમાં પાલેજ ઉપરાંત વડોદરાના છાણી વિસ્તારનો એક રીસીવર પણ સામેલ છે. પાલેજ પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના પીઠવાજાળ ગામમાં એક પાંચ વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો છે. ગત 16મી તારીખે બનેલી આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ હતો, પરંતુ દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પીઠવાજાળ ગામમાં ખેડૂતની વાડીમાં ખેતીકામ કરી રહેલા મજૂરની દીકરી પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. લીલીયા રેન્જના આરએફઓ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાની શોધખોળ શરૂ કરી હતી. જોકે, શરૂઆતમાં દીપડાની કોઈ ભાળ ન મળતા ગામમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મોડી રાત્રે અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. સતત મોનિટરિંગ બાદ આખરે હુમલાખોર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પકડાતા સ્થાનિક લોકો અને ગ્રામજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ હતી. વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને સાવચેતી રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત
AI Image
જો આજથી તમે હેલ્મેટ વિના, નંબર પ્લેટ વિનાની ગાડી, કાળા કાચવાળી ગાડી અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે, કારણ કે આજ(25 ફેબ્રુઆરી)થી 10 માર્ચ સુધી રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવા માટે રાજ્ય પોલીસ વડા કે.એલ.એન.રાવ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે. જેથી આજથી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો રોડ ઉપર ઉતરી ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે. 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખાસ ડ્રાઇવરાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાને પત્ર લખીને જાણ કરી છે કે રાજય ખાતે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. રાજ્ય પોલીસ વડા દ્વારા ‘નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ સામે તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો જેવા કે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ, પેસેન્જર વાહનોમાં પરમિટ કરતાં વધુ પેસેન્જરો બેસાડવા, ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિત અલગ અલગ નિયમો બદલ કાર્યવાહી કરવા જણાવ્યું છે. અકસ્માતોની સંખ્યામાં ગતવર્ષની સરખામણીએ આ વર્ષે વધારોટ્રાફિક નિયમના ભંગ બદલ કાનુની કાર્યવાહી કરવા સમયાંતરે ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન શહેર/જીલ્લાઓ ખાતે કરવામાં આવે છે તેમ છતાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ગતવર્ષની સરખામણીએ આ વર્ષે વધારો થયાનું ધ્યાનમાં આવ્યું છે, જે અકસ્માતમાં અંકુશ લાવવા માટે મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે શહેર/જીલ્લા ખાતે ખાસ ઝુંબેશ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઇવ દરમ્યાન રોજે-રોજ કરેલી કામગીરીની વિગતો નિયત પત્રકમાં તારીખ વાઇઝ તૈયાર કરી રાજ્ય પોલીસ વડાની કચેરીને ઇ-મેઇલથી મોકલી આપવા જણાવ્યું છે.
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં સોની પિતા-પુત્રએ વેપારીની સોનાની ચેન નકલી હોવાનું કહીને પડાવી લીધી હતી. સોનીએ પોતાની પાસે ધિરાણનું લાઇસન્સ ન હોવા છતાં પણ સોનાની ચેન ગીરવે લઈને પૈસા આપ્યા હતા. જે બાદ ચેન નકલી હોવાનું કહી પૈસા પાછા લઇ લીધા હતા. વેપારીએ સોનાની ચેન પરત માંગણી કરતા સોનીએ ચેન પરત આપી નહોતી. આ બાબતે વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જ્વેલર્સ માલિક પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિત્રને પૈસાની જરૂર હોવાથી સોનાની ચેન ગીરવે મુકવાનો નિર્ણય લીધોનારોલમાં રશ્મી પર્લ ફ્લેટમાં રહેતા અને મેટલ સ્ક્રેપનો વ્યવસાય કરતા ધ્રુવિલ સોનીનો ખાસ મિત્ર પક્ષાલ શાહ છે. પક્ષાલ સાથે ઘર જેવા સંબંધ હોવાથી તેની સાથે આર્થિક લેવડદેવડ થતી હોય છે. એક અઠવાડિયા પહેલા પ્રક્ષાલને પૈસાની જરૂર હોવાથી તેણે ધ્રુવિલ પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ ધ્રુવિલે કહ્યું હતું મારી પાસે અત્યારે રોકડની સગવડ નથી જો તારે પૈસાની જરૂર હોય તો હું મારી સોનાની ચેન ગીરવે મૂકી અને તને પૈસા આપું. જ્યારે સગવડ થાય ત્યારે ચેન છોડાવી પૈસા આપી દેજે. જેથી આ બાબતે પક્ષાલે સંમતિ આપતા નારોલ વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાને ધ્રુવિલ સોની ગયા હતા. જોકે મા લક્ષ્મી જ્વેલર્સ પાસે પૈસાની સગવડ ન હોવાથી તેઓ ત્યાંથી પરત આવી ગયા હતા. એક કલાક પછી ફોન આવ્યો અને કહ્યું તમે આપેલી ચેન નકલી છેબાદમાં તેઓ નારોલ ડીવાઇન સ્કૂલ પાસે આવેલી ક્રિષ્ના જ્વેલર્સમાં ગયા હતા. જ્યાં રોહિત પ્રજાપતિ હાજર હતા અને તેમને સોનાની 31 ગ્રામની 22 કેરેટની સોનાની ચેન બતાવી હતી. રોહિતભાઈએ વજન અને ટચ કરી બાદમાં સોનાની ચેનના 2.60 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું અને વ્યાજ કપાશે જેથી વ્યાજના કાપીને 2.53 લાખ રૂપિયા ધ્રુવિલ સોનીને આપ્યા હતા. જેની ગીરો ચિઠ્ઠી આપી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. એક કલાક પછી રોહિતભાઈએ ફોન કર્યો હતો કે, જે તમે સોનાની ચેન આપી છે તે ખોટી છે જેથી ધ્રુવિલે કહ્યું હતું, કે તમારી પહેલા મહાલક્ષ્મી જ્વેલર્સ પાસે બતાવી હતી અને ત્યાં સોનાની ચેન હોલમાર્ક વાળી અસલી હોવાનું કહ્યું હતું. જ્વેલર્સને બે લાખ રોકડ આપી દીધા બાદ પણ ચેન પરત ન આપીઆજ સોનાની ચેન ઉપર તેમણે વર્ષ 2024 અને 2025માં ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી લોન પણ લીધી છે. જો તમને સોનાની ચેન નકલી લાગતી હોય તો તમને હું પૈસા પરત આપી દઉં અને મારી ચેન પરત આપી દો. જેથી તેઓ ફરી ક્રિશ્ના જ્વેલર્સમાં ગયા હતા જ્યાં સોનાની ચેન રોહિતભાઈ દ્વારા તે કાલે સવારે લેવા આવજો એવું કહ્યું હતું. જેથી બે લાખ રૂપિયા રોકડા પરત આપી દીધા હતા. બાકીના પૈસા બીજા દિવસે સવારે આપીશ એવું કહ્યું હતું. જવેલર્સ માલિકના પિતાએ પૈસા આપી જજે નહીં તો બબાલ થશેની ધમકી આપી રાત્રે રોહિતભાઈ એના મોબાઈલ ફોન પરથી ધ્રુવિલ સોનીને ફોન આવ્યો હતો અને તેમના પિતાએ વાત કરી હતી કે મારા છોકરાને કેમ ખોટી ચેન આપી છે. મહાલક્ષ્મી જ્વેલર્સ વાળાને પણ ફોન કરી ધમકાવ્યા હતા. કાલે સવારે પૈસા આપી જજે નહીં તો મોટી બબાલ થઈ જશે એવી રીતે ધમકાવ્યો હતો. બીજા દિવસે સવારે બાકીના પૈસા ઓનલાઈન ક્રિષ્ના જ્વેલર્સમાં રોહિતભાઈને ટ્રાન્સફર કર્યા હતા જ્યારે તેની સોનાની ચેન પરત માંગી તો એવું કહ્યું હતું કે, નીચે વિનાયક જ્વેલર્સ નામની મારા પિતાની દુકાન છે ત્યાંથી લઈ લો. જ્યારે રોહિતભાઈના પિતા મોહનલાલ પાસે સોનાની ચેન માંગવા ગયા તો સોનાની ચેન તારી નકલી છે તને પરત નહીં મળે એવું કહ્યું હતું. નારોલ પોલીસ સ્ટેશનમાં ધ્રુવિલ સોનીએ પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવીબીજા દિવસે રોહિતભાઈએ તેમના સોનીના ગ્રુપમાં મેસેજ કર્યો કે, તેઓને ખોટી ચેન આપી છે આ બાબતની જાણ મહાલક્ષ્મી જ્વેલર્સ વાળાએ ધ્રુવિલ સોનીને કરી હતી. તમારી સોનાની ચેન પણ ઓગાળી દીધી છે એવું કહ્યું હતું. મહાલક્ષ્મી જ્વેલર્સના રમેશભાઈ થકી રોહિતભાઈ અને તેના પિતા સાથે ફોન ઉપર વાત કરી સોનાની ચેન આપવા વાત કરી હતી, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. જેથી નારોલ પોલીસ સ્ટેશનમાં ધ્રુવિલ સોનીએ પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પાસે ધિરાણનું લાઇસન્સ પણ નથી અને સોનાની ચેન પરત આપી નથી તેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં પરિવારનો સામુહિક આપઘાત, 3ના મોત:ઝેરી દવા પી પરિવારે આપઘાત કર્યો
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગનસ બિલ્ડીંગમાં ચાર લોકોનો સામુહિક આપઘાતનો પ્રયાસ, ત્રણ લોકોના મોત થયા છે. પતિ પત્ની અને બે દીકરીના મોત,એક દીકરીનો બચાવ થયો છે. બને દીકરીની ઉંમર 5થી 7 વર્ષ છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં સોમનાથ રોડ પર મંગળવારે સાંજે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇકની પાછળ બેઠેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ટક્કરની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. બાઇક 10 ફૂટ જેટલું દુર ફંગોળાયુંપ્રાથમિક માહિતી અનુસાર, એક બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જતા અન્ય બાઇક રોડને ટક્કર મારતા આગળ જતું બાઇક 10 ફૂટ જેટલું દુર ફંગોળાયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક બાઇકની પાછળ બેઠેલા યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર મળે તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હતો. ઝડપથી આવતી બાઇક અચાનક બેકાબૂ બનીઆ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઝડપથી આવતી બાઇક અચાનક બેકાબૂ બની હતી અને અકસ્માતનો ભોગ બની હતી. ઘટના બનતા જ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બીલીમોરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક યુવાનની ઓળખ અંગે તપાસ ચાલુપોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બાઇક ચાલકની સ્થિતિ અને મૃતક યુવાનની ઓળખ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતમાં હવે કડકાઈ શરુ કરવામાં આવી છે. 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક પૂરું કરવા માટે પાલિકાના રેવન્યુ વિભાગના અધિકારીઓ દ્વારા કડક વસુલાત સાથે સાથે સીલ મારવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 790 કરોડ સામે 670 કરોડની વસૂલાત થઇ મહાનગરપાલિકાના રેવન્યુ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વેરા વસુલાત માટે રૂ. 790 કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. જેની સામે હાલ સુધીમાં પાલિકાએ રૂ. 670 કરોડના વેરાની વસુલાત કરી લીધી છે. રહેણાંક અને બિન રહેણાંક બંને મિલ્કતો મળીને આગામી એક મહિનામાં 120 કરોડના વેરાની વસુલાત બાકી છે તે કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ વેરો વસૂલવા માટે હવે કડકાઈ શરુ કરવામાં આવી છે. રોજની 700 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ સુરેશ તુવેરે ઉમેર્યું હતું કે, હાલમાં રોજે રોજ 700થી 800 જેટલી બિન રહેણાંક મિલકત કે જેઓના વેરા બાકી છે તેને સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તો રહેણાંક વિસ્તારમાં વેરો બાકી હોય તેઓના પાણીના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. રોજેરોજ બિન રહેણાંક વિસ્તારમાં 2000થી 3000 મકાનધારકોને નોટિસ આપવામાં આવી રહી છે. દરેક વોર્ડમાં 7થી 8 ટીમો વેરા વસુલાતની કાર્યવાહીમાં જોતરાઈ છે. હાલ સુધીમાં 22,000 કરદાતાઓને 6 કરોડની વ્યાજ માફી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મિલકતોનો વેરો બાકી છે તેઓ માટે વ્યાજ માફીની યોજના અમલી કરવામાં આવી છે. જે લોકો એકસાથે બાકી વેરો ભરે તેઓને બિન રહેણાંક મિલકતો માટે 60 ટકા અને રહેણાક મિલકતો માટે 80 ટકા કરવેરા માફીની યોજના છે. જે અંતર્ગત હાલ સુધીમાં 22,000 કરદાતાઓને 6 કરોડ જેટલી રકમની વ્યાજ માફી આપવામાં આવી છે. ગત વર્ષે 724 કરોડનું લક્ષ્યાંક હતુંવડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે 724 કરોડના વેરા વસુલાત માટેનું લક્ષ્યાંક રાખ્યું હતું. જો કે, 31 માર્ચ સુધીમાં પાલિકાએ 712 કરોડની જ વસુલાત કરી હતી. ગત વર્ષે પાલિકાને ફ્લડ ઈફેક્ટના કારણે વેરા વસૂલાતમાં લક્ષ્યાંક પાર પાડવામાં સફળતા મળી ન હતી, પરંતુ આ વખતે તેમાં સફળતા મળે તેવી આશા છે.
ગત 23 ફેબ્રુઆરી, 2026એ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અટલ કલામ સેન્ટરમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અટલ કલામ સેન્ટરમાં ભારત શોધ સંસ્થાન અને ભારતીય વિચાર મંચના સહયોગથી પ્રમાણભૂત સંશોધન દસ્તાવેજોના પેનલની એક પ્રદર્શની મૂકવામાં આવી હતી. જેનો વિરોધ દર્શાવી NSUIના કાર્યકર્તાઓએ અટલ કલામ સેન્ટરમાં પોસ્ટર ફાડ્યા હતા. જેથી ગુજરાત યુનિવર્સિટીએ NSUIના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ તોડફોડ કરનારા NSUIના કાર્યકર્તાઓની કેમ્પસમાં પ્રવેશબંધી અને એડમિશન રદ કરવાની કુલપતિએ સૂચના આપી છે. વિદ્યાર્થીઓનું એડમિશન રદ કરાશેRSSના પ્રભાવથી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો. જેને લઈને પોસ્ટર ફાડી વિરોધ નોંધાવતા પોલીસે અટકાયત પણ કરી હતી. પોસ્ટર ફાડી વિરોધ નોંધાવતા ગુજરાત યુનિવર્સિટીએ જ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિરોધ પ્રદર્શનમાં દેખાતા અને તપાસમાં મળી આવતા તમામ લોકોને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધીનો કુલપતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ તમામ વિદ્યાર્થીઓનું એડમિશન રદ કરવાનો કુલપતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ‘વીર પુરુષોનું અપમાન-હિન્દુઓની લાગણી દુભાય તેવી ઘટના’ગુજરાત યુનિવર્સિટીએ એક પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં લખ્યું છે કે ગત 23 તારીખે અટલ કલામ ખાતે ભારત માતા, ડૉ. બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ તેમજ વીર સાવરકર વગેરે ભારતના વીર પુરુષોની પ્રદર્શની હતી. આ ઘટનાથી વીર પુરુષોનું અપમાન તથા હિન્દુઓની લાગણી દુભાય તેવી ઘટના હોવાથી તાકીદે વિરોધમાં સંડોવાયેલા તમામની અટકાયત સહિત જે પણ ગુનાનું આચરણ કરવામાં આવ્યું હોય તે તમામ સામે કડક કાર્યવાહી કરવા પણ કુલપતિએ જણાવ્યું છે. વિરોધ કરનારા વિદ્યાર્થીઓની ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધીચિરાગ દરજી, નારાયણ ભરવાડ, યશરાજસિંહ ખેર, શિવરાજસિંહ બારડ, સંજય સોલંકી, મીત પનારા, કશિશ ડામોર, હર્ષ ચૌહાણ, પૃથ્વી દેસાઈ સહિત તપાસમાં મળી આવે એવા તમામ વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધીનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીએ લીધો છે. તેમજ હવે ગુજરાત યુનિવર્સિટીમાં આઇડેન્ટિકાર્ડ ચેક કર્યા સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા 3 યુવકોને ગાંધીનગર ખાતે ઇવેન્ટમાં કામ કરાવ્યા બાદ ઇવેન્ટ મેનેજર રૂપિયા આપતો ન હતો. ત્યાર બાદ બે યુવકોને રૂપિયા લેવાના બહાને સર્કલ પાસે બોલાવ્યા હતા. આ સમયે યુવકો સગીરો વચ્ચે મારામારી થઈ હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત સામસામે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ કાન પકડીને ઉઠક બેઠક કરી હતી. 23 ફેબ્રુઆરીના રોજ રાત્રીના કલાક 11 વાગ્યાની આસપાસ સુશેન સર્કલ ખાતે આવેલ રાજવાડી ચા વાળાની બાજુમાં કેટલાક ઇસમોએ નાણાંની લેવડ-દેવડ બાબતે અંદરો અંદર મારામારી ઝગડો કર્યો હતો. આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. મકરપુરા પોલીસે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે લક્કીસિંગ સુનીલસીંગ રાજપૂત, (રહેઅક્ષર મવન્સટેજ,તરસાલી બાયપાસ, તરસાલી,વડોદરા), દીપક દિગ્વીજય પાંડે (રહે. વ્રજ રેસીડન્સી, ભાલીયાપુરા ધનીયાવી રોડ, વડોદરા) અને કાયદાના સંધર્ષમાં આવેલ 4 સગીરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકે જણાવ્યું છે કે, હું ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છે. લક્કી નામના યુવકનો મારા પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તેને ગાંધીનગર ખાતે ઇવન્ટનું આયોજન કર્યુ છે જેના માટે ત્રણ છોકરા જોઈએ છે. જેથી મેં મારી સાથે અન્ય બે યુવકોને તૈયાર કર્યા હતાં અને ઇવેન્ટમાં લઇ ગયો હતો. ત્યારબાદ કાર્યક્રમ પતાવીને અમે પરત ખાતે આવ્યા હતા. મેં મારા તથા મારી સાથેના બે યુવકોને ઇવેન્ટ માટે કામ કરવાના રૂપિયા માટે લક્કીને ફોન કર્યો હતો, ત્યારે પહેલા તો ફોન પર રૂપિયા નહિ આપીને તેમ કહીને તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. થોડીવાર બાદ ફરી લક્કીએ મને ફોન કરીને રૂપિયા લેવા મને તથા મારા મિત્રને શુસેન સર્કલ પાસે બોલાવ્યા હતા. અમે બન્ને આવ્યા ત્યારે લક્કી સહિતના યુવકોએ અમારી સાથે મગજમારી કરી હતી અમને લાકડીઓ તથા પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ અમારી મહેનતના રૂપિયા એકના રૂપિયા 900 લેખે 2700 લેવાના નીકળ્યા હોય તે આપ્યા ન હતાં અને લક્કી સહિતના લોકો અમારી સાથે દાદાગીરી કરી અમારું પોલીસ પણ કરી લેવાની નથી તેવી વાતો કરતા હતા અને અમારી ગાડી પણ કબ્જે કરી લીધી હતી. જેથી અમે મકરપુરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને લક્કી સહિતના યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. યુવક પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક બાઈકના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પેટ્રોલ પંપના હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર ટક્કર થતા યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના હૃદય કંપી જાય તેવા CCTV સામે આવ્યા છે. બાઈકના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ધડાકાભેર અથડાઈગત 21 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે વડોદરાના કલાલી ગામના ચાણક્યનગરીમાં રહેતો આદિત્યકુમાર રાજેન્દ્રભાઈ પરમાર (ઉંમર વર્ષ 19) બપોરના સમયે શહેરના મહાવીર ચાર રસ્તાથી પાણીગેટ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન યુવકે પોતાની બાઈક બેફામ સ્પીડે ચલાવી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સીધો દુધેશ્વર સોસાયટી સામે આવેલા ખાનગી પેટ્રોલ પંપ બહાર હવા પુરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી. યુવકે ગંભીર ઈજાઓના પગલે સારવાર મળે તે પહેલાં જ દમ તોડ્યોઆ અકસ્માતવની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં યુવકના બાઈકની સ્પીડ એટલી ભયાનક હતી કે નજરે જોનાર પણ ચોંકી જાય. ભયાનક રીતે ટક્કર થતાં યુવક ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી યુવકને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેણે સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યોપેટ્રોલ પંપ પાસે બનેલી અકસ્માતની ઘટના સમયે બાજુમાં રહેલી સ્ત્રી પણ ચોંકી ઉઠી હતી અને સ્તબ્ધ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ અન્ય વ્યક્તિ ત્યાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનામાં પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃતક યુવક આદિત્ય કેમેરા ફિટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
ભાવનગર: માતૃભક્તિ સેવા મંડળ દ્વારા ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી વડવા ઓઘડરામજીની વાડી ખાતે 24 ફેબ્રુઆરી, 2026 ના રોજ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 100 જેટલી અશક્ત અને અસહાય વિધવા માજીઓએ લાભ લીધો હતો. વિતરણ કરાયેલી કીટમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 લિટર સીંગતેલ, 1.25 કિલો ખીચડી, 250 ગ્રામ ચા, 250 ગ્રામ ઝીણા ગાંઠિયા, 1 કિલો ખાંડ, 1 બિસ્કિટનું પેકેટ, 1 ખાખરાનું પેકેટ, 1 ટોસ્ટનું મોટું પેકેટ, 1 મોટું ખારીનું પેકેટ, 1 સેવ મમરાનું પેકેટ અને વસ્તુઓ ભરવા માટે 1 થેલો શામેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમીરભાઈ, તૃપ્તિબેન, વિશાલભાઈ, ભૂમિબેન, ભાવનાબેન, રેખાબેન, ફાલ્ગુનીબેન, દક્ષાબેન, દૃષ્ટિબેન, દર્શનભાઈ, નીલેશભાઈ, કેતનભાઇ, અજયભાઈ, અશ્વિનભાઈ અને દિલીપભાઈ સહિતની ટીમે સહયોગ આપ્યો હતો. કીટ વિતરણ ઉપરાંત, અહીં આવતા માજીઓને ચા-નાસ્તો અને ઠંડા પીણાની પણ સેવા પૂરી પાડવામાં આવી હતી. માતૃભક્તિ સેવા મંડળ દ્વારા દર મહિને અશક્ત અને અસહાય વિધવા માજીઓને આ પ્રકારની અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે, જે અનેક જરૂરિયાતમંદો માટે પ્રેરણાત્મક સહાયરૂપ બને છે.
કલ્યાણપુર: વિદેશી દારૂ સાથે બે યુવકો ઝડપાયા:પોલીસે ₹12,400નો દારૂ અને ₹19,000ના મોબાઈલ જપ્ત કર્યા
કલ્યાણપુર તાલુકાના દેવળીયા પાટીયા નજીકથી કલ્યાણપુર પોલીસે બે યુવકોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કુલ 12 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹12,400 આંકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹19,000 થાય છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી રેડ દરમિયાન આ યુવકો જાહેરમાં દારૂ અને મોબાઈલ ફોન સાથે મળી આવ્યા હતા. પોલીસે બંને યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હારીજમાં 4 કરોડના જમીન સોદામાં ઠગાઈનો આક્ષેપ:દોઢ કરોડ ચૂકવી અઢી કરોડ ન આપતા 3 સામે ફરિયાદ
હારીજમાં 96 વીઘા જમીનના 4 કરોડ રૂપિયાના સોદામાં ઠગાઈ થયાનો આક્ષેપ કરતી ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાઈ છે. અમદાવાદના નિવૃત્ત દિનેશભાઈ મનજીભાઈ ઓઝાએ બનાસકાંઠાના ઓગડ તાલુકાના ત્રણ વ્યક્તિઓ સામે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દિનેશભાઈ ઓઝાની હારીજ ગામની સીમમાં આવેલી સર્વે નં. 176/74 થી 176/79 અને 165/1 વાળી કુલ 96 વીઘા જમીનનો સોદો 4 કરોડ રૂપિયામાં નક્કી થયો હતો. આ સોદો તેમના સમાજના જમીન દલાલ આશિષ પ્રજાપતિ મારફતે બનાસકાંઠાના માનપુરા ગામના મહાદેવભાઈ, ભલાભાઈ અને વિષ્ણુભાઈ સાથે થયો હતો. તા. 09-04-2025 ના રોજ હારીજ મામલતદાર કચેરી ખાતે દસ્તાવેજ કરતી વખતે જમીન ખરીદનારાઓએ દિનેશ ઓઝાને આશરે દોઢ કરોડ રૂપિયા (ચેક દ્વારા રૂ. 1,48,50,000) ચૂકવ્યા હતા. બાકીના અઢી કરોડ રૂપિયા અન્ય જમીન વેચાયા બાદ 40 થી 60 દિવસમાં ચૂકવી દેવાનો વિશ્વાસ આપી, તેની નોટરી લેખ કરવાનું જણાવી જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. ખરીદનારાઓએ રૂ. 13,08,900ની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી હતી. દસ્તાવેજ થયા બાદ નિર્ધારિત સમયમાં બાકીના અઢી કરોડ રૂપિયા ન મળતા દિનેશભાઈ ઓઝાએ ઉઘરાણી કરી હતી. જોકે, ખરીદનારાઓ દ્વારા વાયદાઓ કરવામાં આવતા અને યોગ્ય પ્રતિસાદ ન મળતા, આખરે તેમણે છેતરપિંડી અને ઠગાઈનો આક્ષેપ કરતી ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે BNS 316(2), 318(4), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાની મુલાકાતે આવેલા વરિષ્ઠ વિચારક ડૉ. જયનારાયણ વ્યાસે વલસાડ તાલુકાના અતુલ ખાતે ગાંધીવાદી વિચારસરણી સાથે સંકળાયેલા ડૉ. વિમલાબેન લાલભાઈની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો, મૂલ્યો અને વર્તમાન સમયમાં તેની પ્રાસંગિકતા અંગે વિસ્તૃત ચર્ચા કરી. ડૉ. જયનારાયણ વ્યાસે સ્વ. કસ્તુરભાઈ અને તે સમયના અમદાવાદના સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા રાષ્ટ્રનિર્માણ અને ઔદ્યોગિક વિકાસમાં અપાયેલી અવિસ્મરણીય સેવાઓને યાદ કરી હતી. તેમણે તેમની કાર્યશૈલીની પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું કે સાદગી, શિસ્ત અને સમાજ પ્રત્યેની જવાબદારી એ જ ગાંધી વિચારધારાની સાચી ઓળખ છે. આ પ્રસંગે ડૉ. વિમલાબેન લાલભાઈએ ડૉ. જયનારાયણ વ્યાસને 'ધરાસણાનો કાળો કેર' નામની પુસ્તિકા ભેટ સ્વરૂપે અર્પણ કરી. આ પુસ્તિકામાં ધરાસણા સત્યાગ્રહની ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ છે. તેમણે ગાંધીજીના અહિંસા, સત્ય અને સ્વાવલંબન જેવા મૂલ્યોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ મુલાકાત સાદગીપૂર્ણ અને આત્મિય વાતાવરણમાં યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ચેતના અને સંસ્કારની પરંપરાને આગળ ધપાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો.
દેવભૂમિ દ્વારકા પોલીસનો ફૂલડોલ પદયાત્રી સેવા કેમ્પ:24 કલાક મેડિકલ, ભોજન, આરામ સહિતની સુવિધા ઉપલબ્ધ
દ્વારકાધીશ ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓ માટે 24 કલાક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા સહિતના મહાનુભાવોના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને પ્રાથમિક મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, તેમના આરામ, ભોજન, નાસ્તા અને ગરમ પાણીથી સ્નાન કરવા જેવી તમામ આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા રાત્રીના સમયે પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રિફ્લેક્ટર લગાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ પદયાત્રીઓની સલામતી વધારવામાં મદદરૂપ થશે.
વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકોનું સીમાંકન જાહેર:2026 ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો બદલાયા
રાજ્ય ચૂંટણી આયોગે વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે નવું સીમાંકન અને અનામતની પ્રાથમિક યાદી જાહેર કરી છે. આ નિર્ણયથી 2026ની ચૂંટણી પહેલાં જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ફેરફારો 2011ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યા છે. નવા સીમાંકન હેઠળ, અનેક દિગ્ગજ નેતાઓના ગઢ ગણાતી બેઠકોમાં ગામોની અદલા-બદલી થઈ છે અને અનામતના રોટેશનથી નવી રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે. જિલ્લાની કુલ મતદાર સંખ્યા આશરે 11.63 લાખથી વધુ નોંધાઈ છે. બેઠકોનું વિતરણ SC, ST, SEBC અને 50 ટકા મહિલા અનામતના ધોરણો હેઠળ કરવામાં આવ્યું છે. અડધી બેઠકો મહિલા અનામત થતાં, પ્રસ્થાપિત નેતાઓએ હવે પોતાના પરિવારના સભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પારડી અને કપરાડા જેવા આદિવાસી બહુલ વિસ્તારોમાં ST અનામત બેઠકોના રોટેશનને કારણે જૂના ચહેરાઓ માટે પડકાર ઊભો થયો છે. કેટલાક ગઢ ગણાતા ગામો હવે પડોશી બેઠકોમાં સામેલ થતાં મતબેંકના સમીકરણો બદલાઈ ગયા છે. આ નવા સીમાંકનથી યુવા અને સ્થાનિક નેતાઓ માટે તકના દ્વાર ખુલ્યા છે. વલસાડ તાલુકાની ડુંગરી જેવી બેઠકો હવે મહિલા અનામત હેઠળ આવી ગઈ છે, જેના કારણે નવા મહિલા ઉમેદવારોની શોધ તેજ બની છે. બીજી તરફ, વાપી અને ઉદવાડા પંથકમાં વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને ગામોની નવી ગોઠવણી કરવામાં આવી છે. ઔદ્યોગિક અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સીમાઓ બદલાતા રાજકીય પક્ષોની ગણિત ફરી ગોઠવાઈ રહી છે. ઉમરગામ તાલુકાની કેટલીક બેઠકોમાં OBC મહિલા અનામત લાગુ થતા સ્થાનિક સ્તરે નવી રાજકીય સ્પર્ધા સર્જાઈ છે. અગાઉ સામાન્ય રહેલી બેઠકો હવે અનામત બનતાં ઘણા નેતાઓ માટે પોતાની સીટ બચાવવાનો જંગ શરૂ થયો છે. સીમાંકનમાં ગામડાંઓની અદલા-બદલીને કારણે જૂના કાર્યકરોમાં અસંતોષ ફેલાવવાની શક્યતા છે. કેટલાક મોટા ગામોને અલગ મતવિસ્તારમાં મુકવા સામે વાંધા-સૂચનો આવવાની સંભાવના છે. પ્રાથમિક આદેશ સામે આગામી સાત દિવસમાં વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે, ત્યારબાદ આખરી સીમાંકન પ્રસિદ્ધ થશે. નવા સીમાંકન બાદ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તાત્કાલિક બેઠકો યોજી ઉમેદવારોની પસંદગી અંગે મથામણ શરૂ કરી દીધી છે. અનામતના કારણે ઘણી બેઠકોમાં નવા ચહેરાઓને તક મળશે, જ્યારે વર્ષોથી એક જ વિસ્તારમાં પકડ ધરાવતા નેતાઓને હવે નવા ગામોમાં જઈને પોતાની અસર સાબિત કરવાની રહેશે. જિલ્લા પંચાયતની સત્તા મેળવવા માટે હવે માત્ર જૂનો ગઢ પૂરતો નહીં રહે; બદલાયેલા ભૂગોળ અને અનામતના નવા ગણિત સાથે 2026ની જંગ વધુ રસપ્રદ અને તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ ચોટીલા તાલુકાના વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની મુલાકાત લીધી હતી. તેમણે તલાટી ક્રમ મંત્રીના દફતરની તપાસણી કરી હતી અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ તપાસણી દરમિયાન એપેન્ડીક્ષ-એ અને સામાન્ય દફતર તપાસણી ફોર્મ ભરવામાં આવ્યા હતા. નાયબ કલેકટરે ગ્રામજનોના પ્રશ્નો સાંભળીને સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તપાસ કરીને અહેવાલ સુપરત કરવા સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન, નાયબ કલેકટરે ગામના ખેડૂતો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા, તેની પદ્ધતિઓ અને તેનાથી કયા ગંભીર રોગોથી બચી શકાય છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમને સમજાવવામાં આવ્યા હતા. દફતર તપાસણી દરમિયાન, ગામ નમૂના નંબર 1 (ખેતીવાડી પત્રક), 8 (ક) (શિક્ષણ ઉપકર), 9 (રોજમેળ તથા પહોંચનું પત્રક), 10 (ચલણ), 14 (જન્મ-મરણ રજીસ્ટર), 14 (ડ) (ઢોરોનું રજીસ્ટર), 17 (આવક-જાવક રજીસ્ટર) અને 18 (સરક્યુલર ફાઇલ) સહિતના મુખ્ય રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો અને અવારનવાર થતા રોગચાળા અંગેની માહિતી યોગ્ય રીતે રાખવામાં આવે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. તલાટી ક્રમ મંત્રી ગામે નિયમિત જાય છે, ડાયરી નિયમિત લખે છે અને પંચાયતની તમામ મિલકતોની દેખરેખ રાખે છે કે કેમ તે મુદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં મહિલા પાસેથી 2.466 કિલો ગાંજો ઝડપાયો:SOGએ ₹1.23 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી
સુરેન્દ્રનગર SOGએ ધ્રાંગધ્રામાંથી એક મહિલાને 2 કિલો 466 ગ્રામ સુકા ગાંજા સાથે ઝડપી પાડી છે. આ જથ્થાની કિંમત આશરે ₹1,23,300 આંકવામાં આવી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, PI બી.એચ. શીંગરખીયાને બાતમી મળી હતી. બાતમીના આધારે, ધ્રાંગધ્રાના માન મેલાત પાસે રહેતી નાજમીનબેન રમજાનભાઈ ગુલાબભાઈ કુરેશી (ઉંમર 40)ના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, નાજમીનબેન પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર સુકો ગાંજો વેચાણ અર્થે રાખતી હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પરથી 2 કિલો 466 ગ્રામ સુકા ગાંજાનો જથ્થો, જેની કિંમત ₹1,23,300 છે, તે કબજે કર્યો હતો. આરોપી નાજમીનબેનની ધરપકડ કરીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ, HC અશ્વિનભાઈ ઠારણભાઇ, HC અરવિંદસિંહ દીલુભા, PC મહાવિરસિંહ જોરૂભા, PC રૂપાબેન રસિકકુમાર જાની, PC સાહીલભાઇ મહમદભાઇ સેલત, HC જગમાલભાઇ અંબારામભાઇ અને PC નિતીનભાઇ હરેશભાઈ ગોહિલ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
શામળાજીના રતનપુર પાસે ટ્રકમાં આગ:ચાલુ ટ્રકમાં આગ લાગતા માલસામાન બળીને ખાખ, ડ્રાઈવરનો બચાવ
શામળાજી નજીક રતનપુર પાસેથી પસાર થઈ રહેલા એક ટ્રકમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ટ્રકમાં ભરેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રક રતનપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પાછળના ભાગેથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ટ્રકને લપેટમાં લઈ લીધી હતી. ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રકને ઉભો રાખી નીચે કૂદી પડ્યો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
બદનક્ષી કેસ રદ કરવાની રાહુલ ગાંધીની અરજી પર હાઈકોર્ટનો ચુકાદો અનામત
ચોકીદારચોર હૈ ટિપ્પણી સામે બદનક્ષીનો કેસ થયોહતો કોઈપક્ષનું નામ લીધું ન હોવાથી અરજદાર અસરગ્રસ્ત પક્ષકાર છે તેમ કહી શકાય નહીં એવીરાહુલ ગાંધી તરફથી દલીલ
રાજકોટ PGVCL આજે ડીસકનેક્શન ડે ઉજવશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 28.68 લાખ ગ્રાહકો એવા છે કે, જેઓએ રૂપિયા 652.99 કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. તેઓને ત્યાં PGVCLની 2700 ટીમ ત્રાટકશે અને વીજ કનેક્શન કાપી નાખશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર-જિલ્લાના સૌથી વધુ 5.57 લાખ વીજ ગ્રાહક છે. જેમની પાસેથી 130.51 કરોડની વસૂલાત બાકી છે, જ્યારે જામનગરમાં રૂપિયા 88.71 કરોડ તો સુરેન્દ્રનગરમાં રૂપિયા 76.64 કરોડ વસૂલવાના બાકી છે. PGVCLને સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં 650 કરોડનું લેણું બાકીરાજકોટ સ્થિત PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાને જણાવ્યું હતું કે, પશ્ચિમ ગુજરાત વિજ લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં રૂપિયા 650 કરોડ જેટલું લેણું બાકી છે. જેમાં 28.68 લાખ વીજ ગ્રાહકો છે. જેમનું 2થી 6 માસ સુધીનું વીજ બિલ બાકી છે. માર્ચ માસ નજીક આવતા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. પાલિકાઓનું ઘણા સમયથી વીજ બિલ બાકી છે, પરંતુ તે આવશ્યક સેવાઓમાં આવતી હોવાથી આ ડ્રાઈવમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડીના વીજ ગ્રાહકો કનેક્શન કપાશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડીના વીજ ગ્રાહકો કે જેઓએ વીજ બિલ ભર્યા નથી તેમનું વીજ કનેક્શન કાપવામાં આવશે. સામાન્ય રીતે વીજ બિલ ન ભર્યું હોય ત્યાં PGVCLની ટીમ જ્યારે વીજ કનેક્શન કાપવા માટે જાય ત્યારે સમજાવટ બાદ ગ્રાહકો દ્વારા નાણાં ભરપાઈ કરવામાં આવે છે. PGVCLની 2700 ટીમ દ્વારા મેગા ડ્રાઇવ કરાશેજોકે તેનાથી ગ્રાહકોને એક ટેવ પડી ગઈ છે કે અમે જ્યારે તેમની પાસે વીજ બિલના નાણાં માંગવા જઈએ ત્યારે જ ભરે છે, જેથી તેમાં સુધારો આવે તે માટે ડીસકનેક્શન ડ્રાઈવ યોજવામાં આવશે. PGVCLની 2700 જેટલી ટીમ દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવશે. જેમાં હાલ કોઈ જગ્યાએ પોલીસની જરૂર નથી, પરંતુ કોઈ વિસ્તારમાં આ પ્રકારની જરૂરિયાત પડશે તો તે પૂરી પાડવામાં આવશે.
શહેરના વાવડી વિસ્તારમાં આવેલી સુરભી હાઈટ્સમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બિલ્ડિંગના 13મા માળે એક યુવતીએ અચાનક આત્મહત્યાનો પ્રયાસ કરતાં ગેલેરીમાંથી કૂદવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની ક્ષણે પરિવારના અન્ય એક સભ્યે સમયસર દોડી આવી યુવતીનો હાથ પકડી રાખતાં તે હવામાં લટકી રહી હતી. નીચે ભેગા થયેલા લોકોએ ચીસો પાડી સહાય માટે બૂમો પાડી હતી. થોડી જ વારમાં અન્ય પરિવારજનો અને સ્થાનિકોની મદદથી યુવતીને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લઈ બચાવી લેવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિકાસ અને સામાજિક ઉત્થાન માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સંભવતઃ પ્રથમ વખત, જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં એવી મહિલા સરપંચ વહુની પસંદગી કરવામાં આવશે જેઓ માત્ર વહીવટી ક્ષેત્રે જ નહીં, પરંતુ પારિવારિક અને સામાજિક સ્તરે પણ આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહી હોય. આ ખાસ પહેલ અંતર્ગત પસંદ થયેલી શ્રેષ્ઠ મહિલા પ્રતિનિધિને ₹50,000નું રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર આપી નવાજવામાં આવશે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર દ્વારા બજેટની સામાન્ય બેઠકમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને તે માટે ખાસ બજેટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતી રાજમાં મહિલાઓની ભાગીદારી વધારવાની સાથે સાથે સમાજમાં પુત્રવધૂઓના સ્થાનને વધુ મજબૂત અને ગૌરવશાળી બનાવવાનો છે. સ્વતંત્ર રીતે વહીવટ કરતી મહિલાઓને પ્રાધાન્ય અપાશેસામાન્ય રીતે ગ્રામ્ય સ્તરે મહિલા સરપંચો ચૂંટાયા બાદ પણ તેમના નિર્ણયો પરિવારના પુરુષ સભ્યો દ્વારા લેવાતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ આ સ્પર્ધામાં એવી મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે જેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે વહીવટ કરે છે. જે મહિલા સરપંચો કોઈના દોરી સંચાર વગર ગામના વિકાસના કામોમાં સક્રિય છે અને સ્વતંત્ર નિર્ણયો લઈ ગ્રામ્ય કક્ષાએ આર્થિક તથા સામાજિક પરિવર્તન લાવી રહી છે, તેમને આ યોજના દ્વારા વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. માર્ચ મહિનાથી જ મહિલા પ્રતિનિધિઓની પસંદગી શરૂ કરાશેજૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં આયોજિત બજેટ બેઠકમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે આ અનોખી દરખાસ્ત પસાર કરવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે ગામમાં જ્યારે કોઈ દીકરી વહુ બનીને આવે છે, ત્યારે તે માત્ર એક ઘરની જ નહીં પણ આખા પરિવારની જવાબદારી સંભાળતી હોય છે. જો આવી વહુ સાથોસાથ રાજકીય ક્ષેત્રે પણ સક્રિય હોય અને ગામના હિતમાં કામ કરતી હોય, તો તેને પ્રોત્સાહિત કરવી એ વહીવટી તંત્રની ફરજ બની જાય છે. આ માટે આગામી માર્ચ મહિનાથી જ યોગ્ય મહિલા પ્રતિનિધિઓની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. પસંદગી પ્રક્રિયા માટે વિશેષ સમિતિની રચના કરાશેપસંદગીની પ્રક્રિયા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ દરેક તાલુકાના ગામોની મુલાકાત લેશે અથવા ભલામણોના આધારે ડેટા એકત્રિત કરશે. પસંદગીના માપદંડોમાં મહિલા સરપંચની વહીવટી કુશળતાની સાથે તેમના પારિવારિક સંસ્કારોને પણ જોવામાં આવશે. ખાસ કરીને સાસુ-સસરાની સેવા, સંયુક્ત પરિવારને જોડી રાખવાની ક્ષમતા અને બાળકોને અપાતા સંસ્કારો જેવા નૈતિક મૂલ્યોને આ સ્પર્ધામાં મહત્વ આપવામાં આવશે. ઘર અને પંચાયત કચેરી એમ બંને મોરચે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાને જ 'શ્રેષ્ઠ મહિલા સરપંચ વહુ ' પ્રતિનિધિ' તરીકે જાહેર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને આગળ ધપાવતા આ પગલાથી ગ્રામીણ સ્તરે મોટું પરિવર્તન આવવાની અપેક્ષા છે. પ્રમુખ હરેશ ઠુમ્મરે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યોના પ્રવાસ દરમિયાન તેમને અનુભવ થયો હતો કે જો મહિલાઓને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે, તો તેઓ સમાજમાં ક્રાંતિ લાવી શકે છે. ભારતના ઇતિહાસમાં અનેક સ્ત્રીઓએ રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપ્યો છે, ત્યારે વર્તમાન સમયમાં 50 ટકા અનામતનો લાભ લઈ મહિલાઓ સ્વતંત્ર રીતે વહીવટમાં કુશળ બને તે અનિવાર્ય છે. આ ₹50,000નું ઇનામ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ એક સ્ત્રીની મહેનત અને તેના સામાજિક-રાજકીય યોગદાનની સ્વીકૃતિ છે. આ નવી પહેલથી જૂનાગઢ જિલ્લાની હજારો મહિલાઓ પ્રેરણા લેશે અને પોતાના પગભર થવા માટે પ્રેરાશે. હાલના સમયમાં જ્યારે વિભક્ત પરિવારોની પ્રથા વધી રહી છે, ત્યારે આ યોજના સાસુ-વહુના સંબંધોમાં મધુરતા લાવવા અને સંયુક્ત પરિવારની ભાવનાને જીવંત રાખવામાં પણ મદદરૂપ સાબિત થશે. વહીવટી તંત્રને આશા છે કે આ પ્રકારના પ્રોત્સાહનથી ગ્રામ્ય સ્તરે મહિલા નેતૃત્વ વધુ સક્ષમ બનશે અને આગામી સમયમાં આ મોડેલ સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોમર્સ અને આર્ટ્સમાં પહેલું પેપર અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ફિઝિક્સનું છે. જ્યારે ધો.10માં ગુજરાતી છે. પહેલા દિવસના આ વિષયો અંગે છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓએ શું શું તૈયારી કરવી તે અંગે જણાવી રહ્યા છીએ. આ પણ વાંચો: આટલું કરો એટલે 12 સાયન્સના મેઇન 4 સબ્જેક્ટ્સમાં ફુલ માર્ક્સ ફિઝિક્સમાં ફોર્મ્યુલા વિના સોલ્યુશન ન લખવારાજકોટના ધોરણ 12 સાયન્સના ફિઝિક્સના એક્સપર્ટ કલ્પેશ ઉસદડીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ ફોર્મ્યુલા વિના સોલ્યુશન ન લખે અને સૂત્ર તેમજ સ્ટેપ્સ સાથે જ જવાબ લખે અન્યથા માર્ક કપાઈ જશે. 50 માર્કના એમસીક્યુના જવાબ ઉતાવળે ન લખવા કારણકે તેમાં આપેલા એકમ ચેન્જ કરી પૂછવામાં આવે છે. આ ઉપરાંત ડાયાગ્રામ યોગ્ય રીતે દોરવો અને જનરલ ઓપ્શન આપવામાં આવતો હોવાથી દરેક સેક્શનમા વધારાનો એક પ્રશ્નનો જવાબ લખવો. જેથી અન્ય પ્રશ્નનો જવાબ ખોટો લખ્યો હોય તો માર્ક ન કપાય. ગુજરાત બોર્ડ દ્વારા દર વર્ષે ફિઝિક્સનું પેપર ટેક્સ્ટ બૂક આધારિત જ હોય છે. જે ઇઝી ટુ મોડરેટ હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં ફિઝિક્સનું પેપર અઘરું પૂછાયું નથી. જે વિદ્યાર્થીઓને આ પેપરમાં 100 માંથી 100 માર્કસ લાવવા છે તેઓએ વિષયને અનુરૂપ તમામ વસ્તુઓ લખવી. ડાયાગ્રામ જરૂરી હોય તો તે વ્યવસ્થિત ડ્રો કરવાનો. ઘણી વખત વિદ્યાર્થીઓ જવાબ લખે છે. પરંતુ તેના પુરા સ્ટેપ લખતા નથી. જેના માર્ક કપાઈ જાય છે. બોર્ડમાં ફોર્મ્યુલા ફરજિયાત છેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ ટેસ્ટ) અને મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ)ના વિદ્યાર્થીઓ સૂત્ર લખ્યા બાદ સીધો જવાબ લખી નાખે છે. તેવું ન કરવું જોઈએ અને વચ્ચેના સ્ટેપ લખવા જોઈએ. આ ઉપરાંત મોટાભાગના વિદ્યાર્થીઓ ફોર્મ્યુલા લખતા નથી અને સીધું સોલ્યુશન લખી નાખે છે. બોર્ડમાં ફોર્મ્યુલા ફરજિયાત છે. જેથી વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ ફોર્મ્યુલા લખવી જોઈએ. જે બાદ ડેટા લખો અને પછી કેલ્ક્યુલેશન કરવું જોઈએ. જો ફોર્મ્યુલા વિના સોલ્યુશન લખ્યુ હોય તો તે વિદ્યાર્થીઓને 0 અથવા 0.5 માર્ક આવે છે. આ ઉપરાંત દરેક સેક્શનમાં એક પ્રશ્ન વધારે લખવો જોઈએ. જેથી કોઈ પ્રશ્નમાં માર્ક કપાયા હોય તો બેલેન્સ થઈ જાય. વડોદરાના ઇકોનોમિક્સના શિક્ષક જતિન શાહ કહે છે કે, અત્યાર સુધી જે જે ટોપિક કવર કર્યા છે અને જે વાંચ્યું છે, તેનું સતત રિવિઝન કરવું જોઈએ. જો કોઈ ટોપિક રહી ગયો હોય અને થોડો સમય હોય તો તે કરી શકાય, પરંતુ છેલ્લી ઘડીએ એવી કોઈ નવી તૈયારીમાં ન પડવું જોઈએ જે વર્ષ દરમિયાન ભણ્યા જ નથી. સ્ટુડન્ટે કયા પ્રશ્નો પહેલા સોલ્વ કરવા જોઈએ અને કેમ? ઘણીવાર વિદ્યાર્થીઓ મોટા પ્રશ્નોથી શરૂઆત કરે છે, જેમાં સમય વધુ જતો રહે છે અને છેલ્લે પેપર અધૂરું રહી જવાની શક્યતા વધી જાય છે. એટલે સિક્વન્સમાં જવું જ હિતાવહ છે. આ વખતે કેવા પ્રકારના પ્રશ્નો પર વધુ ફોકસ કરવું જોઈએ?પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો પર પહેલા ધ્યાન આપવું. ખાસ કરીને હોંશિયાર વિદ્યાર્થીઓએ, ઘણીવાર તેમના માર્ક્સ વિભાગ-A અને B (નાના પ્રશ્નો અને MCQ)માં જ કપાતા હોય છે. મોટા પ્રશ્નો તો સૌને આવડતા હોય છે, પણ નાના પ્રશ્નોમાં ભૂલ થવાની શક્યતા વધુ હોય છે. એટલે હોંશિયાર વિદ્યાર્થીઓએ ચોપડી ઉપરાંતના વધારાના નાના પ્રશ્નો પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. પેપર લખતી વખતે સ્ટુડન્ટે આ બાબતોનું ધ્યાન રાખવુંસમયનું આયોજન સૌથી અગત્યનું છે. ઘડિયાળના કાંટે નક્કી કરો કે કયા સમય સુધીમાં કયું સેક્શન પૂરૂં કરવું. બીજું કે, પોતાના પર આત્મવિશ્વાસ રાખો. ઘણીવાર એવું બને છે કે વિદ્યાર્થીને પોતાનો સાચો જવાબ ખબર હોય, પણ બાજુવાળાને પૂછીને તે ખોટો જવાબ લખી નાખે છે. આ પ્રકારની લાલચમાં ન ફસાવું. તમને જે આવડે છે તે પૂરા આત્મવિશ્વાસ સાથે લખો. ગુજરાતીમાં સારો સ્કોર લાવવા ટૂંકમાં નોંધ બનાવોઅંતિમ ક્ષણોમાં કેવી રીતે અસરકારક તૈયારી કરવી અને કી પોઇન્ટ્સનો ઉપયોગ કરીને ધોરણ-10ના ગુજરાતીના પેપરમાં સારો સ્કોર મેળવવો. તે અંગે ગુજરાતીના શિક્ષિકા પૂજા મોદી જણાવે છે કે પરીક્ષા પહેલાંના છેલ્લાં દિવસોમાં આખું પાઠ્યપુસ્તક ફરી વાંચવાની જગ્યાએ મુખ્ય મુદ્દાઓને સમજીને ટૂંકમાં નોંધ બનાવવી વધુ અસરકારક સાબિત થાય છે. ‘શરૂઆત, મધ્ય અને અંત ત્રણેય ભાગ સ્પષ્ટ હોવા જોઈએ’તેઓ કહે છે. નિબંધ, પત્રલેખન અને લેખન વિભાગમાં માળખું ખૂબ મહત્વનું છે. શરૂઆત, મધ્ય અને અંત ત્રણેય ભાગ સ્પષ્ટ હોવા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને મુદ્દાઓ ખબર હોવા છતાં ગોઠવણીના અભાવે ગુણ ઓછા મળે છે. એટલે પહેલેથી માળખું મનમાં ગોઠવો અને પછી જવાબ લખો. ગુજરાતીને હળવાશથી લેશો તો ધાર્યા માર્ક્સ નહીં મળેગુજરાતી માતૃભાષા વિષય છે, પરંતુ ઘણી વખત વિદ્યાર્થીઓ તેને હળવાશથી લેતા હોય છે. પરિણામે, સરળ વિષય હોવા છતાં તેઓ ધારેલા માર્ક્સ મેળવી શકતા નથી. યોગ્ય આયોજન, નિયમિત અભ્યાસ અને લખાણ પ્રત્યે ગંભીરતા રાખવામાં આવે તો ગુજરાતી વિષયમાં સારા માર્ક્સ ગુણ મેળવવા પૂરી રીતે શક્ય છે. અનુક્રમણિકાથી લઈને છેલ્લાં પાનાં સુધીનું સઘળું પુસ્તક ધ્યાનથી વાંચવુંપાઠ્યપુસ્તક પર ખાસ ધ્યાન આપવું. ગુજરાતી વિષયમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે, પાઠ્યપુસ્તક. પરીક્ષાના મોટાભાગના પ્રશ્નો સીધા પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાતા હોય છે. તેથી સૌપ્રથમ અનુક્રમણિકાથી લઈને છેલ્લાં પાનાં સુધીનું સઘળું પુસ્તક ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ગાઈડ અથવા નોટ્સ પર વધારે આધાર રાખે છે, પરંતુ મૂળ પુસ્તક વાંચવાથી વિષયનું મૂળભૂત સમજણ મજબૂત બને છે. પાઠમાં આપેલી વાર્તા, કવિતા, નિબંધ, લેખક પરિચય અને અંતે આપેલા પ્રશ્નોત્તરી બધું જ મહત્વનું છે. વાંચતી વખતે મુખ્ય મુદ્દાઓ અંડરલાઇન કરવા, નોટ્સ તૈયાર કરવા અને મુશ્કેલ શબ્દોના અર્થ લખી રાખવા જોઈએ. ‘કર્તા અને કૃતિનું નામ ચોક્કસ યાદ રાખવું જોઈએ’અનુક્રમણિકા એટલે કે ઈન્ડેક્સ સામાન્ય રીતે વિદ્યાર્થી ઇગ્નોર છે, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. લગભગ 8 ગુણના પ્રશ્નો અનુક્રમણિકા આધારિત પૂછાતા હોય છે. તેમાં કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્યનો પ્રકાર (જેમ કે નિબંધ, વાર્તા, કવિતા વગેરે), સંદર્ભ વગેરે અંગે પૂછાઈ શકે છે. વિદ્યાર્થીએ દરેક પાઠ માટે કર્તા અને કૃતિનું નામ ચોક્કસ યાદ રાખવું જોઈએ. સાહિત્ય પ્રકાર ઓળખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ પ્રકારના પ્રશ્નો સરળ હોય છે અને યોગ્ય તૈયારીથી સરળતાથી સંપૂર્ણ ગુણ મેળવી શકાય છે. નિબંધ લેખનપર વિશેષ ધ્યાન આપવું વિભાગ-D (નિબંધ લેખન) પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વિભાગ-Dમાં સામાન્ય રીતે નિબંધ લેખન આવે છે. નિબંધમાં વિદ્યાર્થીઓ વધુ ગુણ મેળવી શકે છે કારણ કે અહીં પોતાની ભાષા, વિચારો અને અભિવ્યક્તિ શક્તિ બતાવવાની તક મળે છે. નિબંધ લખતી વખતે વિષયને સમજ્યા વિના લખવાનું શરૂ ન કરવું. પ્રસ્તાવના, મધ્ય ભાગ અને ઉપસંહાર. ત્રણ ભાગમાં લેખન કરવું. કહેવતો, લોકોક્તિઓ અને કાવ્ય પંક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવો. ભાષા સરળ અને સ્પષ્ટ રાખવી. ઉદાહરણ તરીકે, પરિશ્રમનું મહત્વ વિષય હોય તો મહેનત વિના મહિમા નથી જેવી કહેવતનો સમાવેશ કરી શકાય. આથી નિબંધ વધુ અસરકારક બને છે અને પરીક્ષક પર સારો પ્રભાવ પડે છે. વ્યાકરણ માટે વિકલ્પનો લાભ ઉઠાવોવ્યાકરણ માટેની મહત્વપૂર્ણ ટિપ્સ આપતા જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓ વ્યાકરણથી ડરે છે, પરંતુ સાચી તૈયારીથી તે ખૂબ સરળ બની શકે છે. વિકલ્પોનો લાભ લેવો. વ્યાકરણના પ્રશ્નોમાં મોટાભાગે વિકલ્પો આપવામાં આવતા હોય છે. એટલે કે સાચો જવાબ ઓળખવો પડે છે. જો વિદ્યાર્થીએ મૂળભૂત નિયમો સમજ્યા હોય તો તે સરળતાથી સાચો વિકલ્પ પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, સમાસ, છંદ, અલંકાર વગેરે વિષયોમાં વિકલ્પો દ્વારા ઝડપથી ખોટા જવાબોને દૂર કરીને સાચો જવાબ પસંદ કરી શકાય છે. છંદ અને સમાસમાં ખાસ પ્રેક્ટિસ કરવીછંદ અને સમાસમાં ખાસ પ્રેક્ટિસ કરવી. છંદ અને સમાસ જેવા ટોપિકમાં નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. માત્ર રટણથી કામ ચાલતું નથી. અલગ-અલગ ઉદાહરણો દ્વારા સમજવું જોઈએ કે કયો સમાસ કઈ રીતે બને છે અથવા કયો છંદ કઈ રચનામાં વપરાય છે. નિયમિત પ્રેક્ટિસથી આ વિભાગમાં પણ સંપૂર્ણ ગુણ મેળવી શકાય છે. કાપાકૂપીથી પેપર ખરાબ દેખાશેપેપર લખતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. સાચી તૈયારી જેટલું જ મહત્વ પેપર લખવાની પદ્ધતિનું છે. સ્વચ્છ લખાણ અને સુંદર અક્ષર. પેપર ચકાસનાર માટે સ્પષ્ટ અને સ્વચ્છ લખાણ ખૂબ મહત્વનું છે. અક્ષરો સ્પષ્ટ અને ગોળમટોળ હોવા જોઈએ. ચેકછાક ટાળવી જોઈએ. વધુ કાપાકૂપીથી પેપર ખરાબ દેખાય છે અને ગુણ પર અસર પડી શકે છે. લખાણ ધીમે અને સમજીને કરવું જોઈએ. ઝડપમાં લખતાં લખતાં શબ્દો બગડી ન જાય તેનું ધ્યાન રાખવું. 5–10 મિનિટ પેપર ચકાસવા માટે રાખવીવિભાગો અને પ્રશ્નો ક્રમ મુજબ લખવા. જો તમે વિભાગ-Aથી પેપર શરૂ કરો તો તે વિભાગ પૂર્ણ કર્યા પછી જ બીજો વિભાગ શરૂ કરવો. પ્રશ્નો ક્રમ પ્રમાણે લખવાથી પરીક્ષકને તપાસવામાં સરળતા રહે છે. પ્રશ્ન નંબર સ્પષ્ટ લખવો જોઈએ. જો ક્રમ ગરબડ થાય તો પરીક્ષકને મુશ્કેલી પડે છે અને ક્યારેક ગુણ કપાઈ શકે છે. કોઈ પ્રશ્ન બાકી ન રહે તેની ખાતરી કરવી. ઘણી વખત વિદ્યાર્થીઓ સમયના અભાવે કેટલાક પ્રશ્નો છોડી દે છે. તેથી સમય વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. પેપર મળ્યા પછી પહેલા 5 મિનિટમાં સમગ્ર પ્રશ્નપત્ર વાંચી લેવું જોઈએ. જે પ્રશ્નો સરળ લાગે તે પહેલા એટેમ્પ્ટ કરવા અને મુશ્કેલ પ્રશ્નો માટે પૂરતો સમય ફાળવવો. અંતે 5–10 મિનિટ પેપર ચકાસવા માટે રાખવી. કોઈ એક-બે પાઠ છોડવાની ભૂલ ન કરવીગુજરાતી વિષયની કોઈ ચોક્કસ બ્લુપ્રિન્ટ નથી. ગુજરાતી વિષયમાં ઘણી વખત ચોક્કસ બ્લુપ્રિન્ટ ન હોય. એટલે કે કયા પાઠમાંથી કેટલા ગુણના પ્રશ્નો આવશે તે નક્કી નથી. તેથી દરેક પ્રકરણની સમાન રીતે તૈયારી કરવી જરૂરી છે. કોઈ એક-બે પાઠ છોડવાની ભૂલ ન કરવી. દરેક પાઠ, કવિતા અને વ્યાકરણનો ભાગ ધ્યાનપૂર્વક તૈયાર કરવો. નિબંધમાં આપેલા મુદ્દાઓનું પાલન કરવું જોઈએ. નિબંધમાં ઘણી વખત મુદ્દા આપવામાં આવે છે. તે મુદ્દાઓના આધારે જ લખાણ કરવું જોઈએ. બધા મુદ્દાઓ આવરી લેવાં જરૂરી છે. કોઈ મુદ્દો છૂટી ન જાય તેનું ધ્યાન રાખવું. ગુજરાતી વિષય સરળ અને ગુણ મેળવવા માટે એક સારી તક આપતો વિષય છે. યોગ્ય આયોજન, પાઠ્યપુસ્તક પર ધ્યાન, અનુક્રમણિકાની તૈયારી, વ્યાકરણમાં પ્રેક્ટિસ, નિબંધમાં સર્જનાત્મકતા અને સ્વચ્છ લખાણ. આ બધું અપનાવવામાં આવે તો ગુજરાતી વિષયમાં સારું રિઝલ્ટ મેળવી શકાય છે. છેલ્લે તેઓએ જણાવ્યું હતું કે, મહેનત, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ. આ ત્રણ બાબતો સફળતાની ચાવી છે. જો વિદ્યાર્થી નિયમિત રીતે વાંચન અને લેખનની પ્રેક્ટિસ કરશે તો ગુજરાતી વિષયમાં 90% થી વધુ ગુણ મેળવવા પૂરી રીતે શક્ય છે.

31 C