SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

વેધર રિપોર્ટ:શહેરમાં વાદળો અને ભેજવાળા પવનથી બપોરે ગરમી ઘટી પણ રાત્રે બફારો વધ્યો

ભાવનગર શહેરમાં બપોરે ગરમીમાં રાહત મળી રહી છે જ્યારે રાત્રે બફારો વધી રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું જ્યારે લઘુતમ ઉષ્ણતામાન વધીને 26.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું. ભેજવાળા પવનને લીધે દિવસ પર ગરમીમાં રાહત મળી હતી. મહત્તમ અને લઘુતમ ઉષ્ણતામાન વચ્ચે નવ ડિગ્રીનો તફાવત નોંધાયો હતો. બપોરના સમયે આજે પણ શહેરમાં આછા વાદળો છવાયા હતા. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31 માર્ચે કમોસમી વરસાદની આગાહી આઈએમડી ગુજરાત દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું જે આ સમયગાળામાં બપોરના સમયે નોંધાતા તાપમાનથી બે ડિગ્રી સેન્ટિગ્રેડ ઓછું હતું જોકે બપોરના સમયે પણ હવામાં ભેજનું પ્રમાણ 41% અને સાથે પવનની ગતિ સાંજના સમયે વધીને 16 કિલોમીટર નોંધાઇ હતી સવારે પણ શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર હતી આમ આજે પણ ભેજવાળો પવન દિવસભર ફૂંકાતો રહ્યો હતો જેથી ગરમીનો પ્રભાવ ઘટ્યો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાકમાં 1.1 સેન્ટિગ્રેડ વધીને આજે 26.3 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું જે આ સમયગાળામાં નોંધાતા રાતના તાપમાનથી 3.1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતું. જેથી રાત્રિના સમયે બફારો વધ્યો હતો. માત્ર બે શહેરોમાં રાત્રે તાપમાન 26 ડિગ્રીથી વધુ નોંધાયુંરાજ્યમાં અમદાવાદ અને ભાવનગર બે શહેરમાં રાત્રે ઉષ્ણતામાન 26 ડિગ્રી થી વધુ નોંધાયું હતું જેમાં રાતના સમયે સૌથી વધુ તાપમાન અમદાવાદ માં 26.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભાવનગરમાં રાતનું તાપમાન 26.3 ડિગ્રી નોંધાયું હતું અન્ય શહેરોમાં 22થી 25 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:54 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે એક્સટેન્શન પર બ્રેક, GMBની ફાઇલ ટ્રાન્સપોર્ટ વિભાગે પરત ધકેલી

ગુજરાત મેરિટાઇમ બોર્ડના ચિફ એન્જીનિયરની ફરજ તળે આવતા પ્રોજેક્ટોના બેફામ ભ્રષ્ટાચાર, પ્રોજેક્ટની નિષ્ફળતાઓ અને 1000 કરોડ રૂપિયાના નુકશાન સામે તપાસ કરાવવામાં તંત્ર ઉણુ તો ઉતર્યુ હતુ, પરંતુ જેના પર ભ્રષ્ટાચારના અને પ્રોજેક્ટની નિષ્ફળતાના આક્ષેપો છે તેને નિવૃત્તિ બાદ એક્સટેન્શન આપવા માટેની હિલચાલ ચાલી રહી હતી તેની સામે લાલ બત્તી સમાન હેવાલ દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થતા જીએમબીની દરખાસ્ત ટ્રાન્સપોર્ટ વિભાગે ફગાવી દીધી છે, અને ફાઇલ પરત મોકલી આપી છે. જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયા ફેબ્રુઆરી-2026માં નિવૃત્ત થયા હતા અને એક્સટેન્શન મેળવવા માટે તેઓએ છેલ્લા બે માસથી દિલ્હી અને ગાંધીનગરના મંત્રાલયોમાં તળીયા ઘસી નાંખ્યા હતા, અનેક મંત્રીઓને કાકલૂદી કરી હતી તેથી જીએમબી દ્વારા તેને એક્સટેન્શન આપવાનો પ્રસ્તાવ આગળ ધકેલવામાં આવ્યો હતો. આ ફાઇલ ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં મોકલવામાં આવી હતી, અહીં અધિકારીઓએ તલાવીયાના ભૂતકાળમાં ડોકીયુ કરતા અનેક પ્રોજેક્ટની ક્ષતિઓ, ભ્રષ્ટાચારની ગંધ સપાટી પર આવી હતી, અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એક્સટેન્શનની ફાઇલ નકારી કાઢી અને જીએમબીને પરત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો દર્શાવતો પત્ર ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિશોર કાનાણી (કુમાર) દ્વારા વડાપ્રધાન સહિતનાને લખવામાં આવ્યો હતો, છતા જીએમબીમાંથી એક્સટેન્શન આપવા માટેનો તખ્તો ઘડાવા લાગ્યો હતો. જીએમબી દ્વારા તલાવીયાના એક્સટેન્શનનો પ્રસ્તાવ વાઇસ ચેરમેન, સીઇઓ ડૉ.અજયકુમારની અનુપસ્થિતિમાં ટ્રાન્સપોર્ટ વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો, ત્યાંથી ફાઇલ અંગે ક્વેરી કાઢવામાં આવી હતી જેના સંતોષકારક ખુલાસા જીએમબી કરવામાં નિષ્ફળ રહેતા ટ્રાન્સપોર્ટ વિભાગે ફાઇલ જીએમબીને પરત મોકલી આપી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે ફાઇલ નકાર્યા બાદ ખાતાકીય કામગીરીજીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયાના નિવૃત્તિ બાદ નોકરી અંગેની ફાઇલ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નકારી કાઢવામાં આવી છે. ફાઇલ નકારી કાઢવામાં આવ્યા બાદની ખાતાકીય કામગીરી શરૂ છે. - ડૉ.અજયકુમાર, વાઇસ ચેરમેન, સીઇઓ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર ચિફ એન્જિનિયર તલાવીયા સામે ક્યા ક્યા આક્ષેપો હતા?જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયાની સામે ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસની નિષ્ફળતા, રૂપિયા 250 કરોડના માંગરોળ મત્સ્ય ઉદ્યોગ હાર્બર પ્રોજેક્ટની નિષ્ફળતા, 300 કરોડના ડ્રેજીંગ કૌભાંડ, નવલખી પોર્ટ જેટીમાં 150 કરોડનું કૌભાંડ, જીએમબી રહેણાંકી વસાહતમાં કૌભાંડ, અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં જહાજ ભાંગવાની પરવાનગી આપવાનું કૌભાંડ, હોવરક્રાફ્ટ ખરીદી કૌભાંડ, વીટીએસ કૌભાંડના આક્ષેપ છે, પરંતુ જીએમબી દ્વારા તેની તટસ્થ તપાસ કરવવાને બદલે એક્સટેન્શન આપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:53 am

ધોરણ 12 સાયન્સની પરીક્ષા:ધોરણ 12 સાયન્સની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે. રસાયણ વિજ્ઞાનની આન્સર કીમાં એક પ્રશ્નમાં તમામ વિકલ્પો સાચા જણાવ્યા છે એટલે કે વિદ્યાર્થીએ પ્રશ્નમાં ગમે તે ઉત્તર લખ્યો હશે સાચો રહેશે. કેમેસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમમાં આવી રીતે એક પ્રશ્નમાં તમામ વિકલ્પ સાચા છે. ભૌતિક વિજ્ઞાન ગુજરાતીમાં આવી રીતે 3 પ્રશ્નમાં વિકલ્પો સાચા અપાયા છે ભૌતિક વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં પણ 2 સવાલમાં વિકલ્પ સાચા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની આ આન્સર કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ પર મુકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમ વાર પ્રશ્ન દીઠ અલગ રજૂઆત ઈમેલ આઇડી gshsebsciencekey@gmail.com પર તા. 4 એપ્રિલને શનિવારે સાંજે 6 સુધી કરવાની રહેશે ત્યારબાદની રજૂઆત ધ્યાને લેવાશે નહીં તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે. રજૂઆત ફક્ત email મારફત સ્વીકારાશે. જેમાં પ્રશ્ન દીઠ નિયત ફી ₹500 ચલણથી એસબીઆઇ બેન્કમાં ભરવાની રહેશે ચલણનો નમુનો બોર્ડની વેબસાઈટ પર મુકાયો છે રજૂઆતની સાથે નાણા ભરેલા ચલણની નકલ ઇમેલ મારફત મોકલવાની રહેશે જે પ્રશ્નની રજૂઆત કરી હશે અને તે સાચી થશે તો પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરાશે. બોર્ડના છાત્રો માટે વિનામૂલ્યે માર્ગદર્શન કેન્દ્રદર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આગળ અભ્યાસ નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રનો પ્રારંભ કરાયો છે જેમાં શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદી વિદ્યાર્થીઓના ભેરુ બની સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. કંપનીઓ કે સંસ્થાઓ સીધી કે અડકતરી રીતે કલાકના ધોરણે તોતિંગ ફી લે છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ તથા કારકિર્દી માટે માર્ગદર્શન નિઃશુલ્ક સ્વરૂપે પુરુ પાડવા કેન્દ્ર દ્વારા પ્રયાસો થશે. માર્ગદર્શન ઇચ્છતા વિદ્યાર્થીઓ કે વાલીઓને છેલ્લા બે વર્ષની માર્કશીટ સાથે રાખી ફોન નંબર 9924343536 પર અથવા રૂબરૂ મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:51 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:રાજપરા-2 ગામે અજાણ્યા વાહન અડફેટે યુવકનું મૃત્યુ

ઘોઘા તાલુકાના તણસા ગામે બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું દુઃખદ અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતા ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. દિલીપભાઈ મેઘજીભાઈ ખડોદરાએ અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના મિત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે રાજપરા-2 ગામ નજીક નેશનલ હાઈવેના બ્રિજ નીચે તેમના ભાઈ નરેશકુમાર મેઘજીભાઈ ખડોદરાને કોઈ અજાણ્યા વાહન દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. આ જાણ મળતા જ દિલીપભાઈ પોતાના સંબંધીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં નરેશકુમાર ગંભીર ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:50 am

SGSTના એડિ. કમિશનર સામે પગલા:ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ IRS હેરમાને સિંગલ ઓર્ડરથી તત્કાળ પરત મોકલાયા

સ્ટેટ જીએસટીમાં વ્યાપકપણે ફેલાઇ ગયેલા ભ્રષ્ટાચાર અને ઉચ્ચ અધિકારી દ્વારા સીન્ડીકેટ રચી સરકારી તિજોરીને કરવામાં આવી રહેલા નુકસાન અંગે વડાપ્રધાનથી લઇ સીબીઆઇ, સીબીઆઇસી, મુખ્યમંત્રી સહિતના લોકોને આઇઆરએસ ધર્મેન્દ્ર ચંદુલાલ હેરમા સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સિંગલ ઓર્ડરથી અને તત્કાળ અસરથી સીબીઆઇસી બોર્ડમાંથી ડેપ્યુટેશન પર આવેલા હેરમાને અકાળે પરત મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર 2023માં ડી.સી.હેરમાને ગુજરાતમાં સ્ટેટ જીએસટીમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા, અને તેઓની પાસે એન્ફોર્સમેન્ટનો ચાર્જ હતો. હેરમાની સામે વ્યાપકપણે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હતી, અને સરકાર દ્વારા જીણી આંખે તેની સમીક્ષા પણ કરવામાં આવી રહી હતી. હેરમા અને તેની ટોળકીમાં સામેલ તુલસી, હરેશ, મીતુલ, ચીરાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારનો કાળો કેર વર્તવામાં આવ્યો હતો. નવાઇની વાતતો એ હતી કે, હેરમા પાસે એન્ફોર્સમેન્ટ વિભાગ હતુ, જો એન્ફોર્સમેન્ટની કોઇપણ ફરિયાદ હોય તો તેને તકેદારી વિભાગમાં તબદીલ કરવામાં આવે છે. આ તકેદારી વિભાગ પણ પોતાની પાસે જ રાખ્યો હતો, અને સ્ટાફમાંથી જો કોઇ ઉંચા-નીચા થાય તો મહેકમ વિભાગ પણ પોતાની પાસે હોવાથી સ્ટાફને રીમોટ સ્થળ પર બદલી કરી નાંખવાની ચીમકી આપી દબાવી દેતા હતા. હેરમા અને તેની ટોળકી દ્વારા કરવામાં આવેલા બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદો પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હતી અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સીબીઆઇસીમાં અકાળે પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને સરકારના આ પગલાના ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના છે. હેરમાના કરતૂતો પર આ પાણીઢોળ છે, કે તેના તમામ ભ્રષ્ટાચાર અને કલંકિત ટોળકી સામે ભ્રષ્ટાચારની વધુ તપાસ થશે? તેના અંગે પણ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:48 am

વન અને પર્યાવરણ વિભાગમાં મોટાપાયે ફેરફાર:રાજ્યના 365 RFOની સામૂહિક બદલી

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ચાર વર્ષ બાદ આજે મોટાપાયે બદલીના ઓર્ડર કરાયા હતા. જેમાં નાયબ ભાવનગર વન સંરક્ષક કચેરીના વિસ્તરણ, વન્યજીવ અને નૉર્મલ રેન્જ ઉપરાંત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરીના કાર્યક્ષેત્રમાં આવતી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત રાજ્યના કુલ 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની સામૂહિક બદલીના ઓર્ડર કરાયા છે. ભાવનગર જિલ્લા સંલગ્ન સહિત રાજ્યની વન વિભાગની રાજ્યની 450 જેટલી રેન્જમાં થયા બદલીના ઓર્ડર નીકળ્યા હતા. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે કરેલા બદલીના ઓર્ડરમાં ભાવનગર વન સંરક્ષક કચેરી, રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરીમાં વિસ્તરણ, વન્યજીવ અને નૉર્મલ રેન્જમાં ફરજ બજાવતા 13 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી કરાઈ છે. જેમાં મોટાભાગના બદલીના ઓર્ડરમાં વન્યજીવ અને નોર્મલમાં ફરજ બજાવતા હતા તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વિસ્તરણ મુકાયા છે. જયારે નોર્મલમાં ફરજ બજાવતા હતા તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વન્યજીવમાં મુકાયા છે. ભાવનગર જિલ્લા સંલગ્ન રેન્જમાં ફરજ બજાવતા 13 RFOની બદલીRFOની બદલીમાં કિશોરસિંહ બારડની વલભીપુર રેન્જમાંથી બોટાદ વિસ્તરણ રેન્જમાં, ભરતભાઈ સોલંકીની સિહોર રેન્જમાંથી ઘોઘા વિ. રેન્જમાં, સુરેશભાઈ બારૈયાની મહુવા રેન્જમાંથી રિસર્ચ ભાવનગર રેન્જમાં, દિવ્યરાજસિંહ સરવૈયાની ભાવનગર રેન્જમાંથી વેળાવદર રેન્જમાં, મુકેશભાઈ વાઘેલાની જેસર રેન્જમાંથી સિહોર વિ.રેન્જમાં, જગાભાઈ આંબલીયાની પાલિતાણા વિ. રેન્જમાંથી જસદણ રેન્જમાં મૂકાયા છે. ,સુમીતાબેન ડાકીને સિહોર વિ.રેન્જમાંથી જુનાગઢ રિસર્ચ રેન્જમાં, અમિતકુમાર વાણિયાને ઘોઘા વિ. રેન્જમાંથી ખાંભા એમ.એસ. વન્યજીવમાં, નિમલબેન ગોલેતરને ઉમરાળા વિ. રેન્જમાંથી સિહોર રેન્જમાં, આરતીબેન શિયાળની તળાજા વિ.રેન્જમાંથી વન્યજીવ રેન્જ પાલિતાણામાં, જીજ્ઞાસાબેન શેતરણીયાને ગારિયાધાર વિ.રેન્જમાંથી વન્યજીવ જાફરાબાદ રેન્જમાં મૂકાયા છે. દિલીપભાઈ ગઢવીની વેળાવદર રેન્જમાંથી વન્યજીવ મહુવા રેન્જમાં, મોહનભાઇ બાંભણીયાની મો.સ્ક્વોડ વેળાવદરમાંથી વન્યજીવ મહુવા રેન્જમાં મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:47 am

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી:કોર્પો.ને પ્રથમવાર 105.56 કરોડની સ્પેશ્યલ આસિસ્ટન્સ ગ્રાન્ટ ફાળવાઇ

ભાવનગર કોર્પોરેશનને વિકાસ કામો માટે વર્ષ દરમિયાન જુદી જુદી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મળતી રહે છે પરંતુ પ્રથમવાર ભાવનગર કોર્પોરેશનને 105.56 કરોડની સ્પેશિયલ આસિસ્ટન્ટ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં વિકાસ કામોના મોટા પ્રોજેક્ટ હાથમાં લીધા છે. ઘણા પૂર્ણ થવામાં છે તો ઘણા કાર્યરત છે. પરંતુ હજુ પણ વિકાસ કામોમાં ગ્રાન્ટની જરૂરિયાત હોય તો રાજ્ય સરકાર દ્વારા તમામ કોર્પોરેશનને જણાવતા ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ આગામી દિવસોમાં નવા વિકાસ પ્રોજેક્ટ સરકારમાં મૂક્યા હતા. ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં મોટા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટની આવશ્યકતા દેખાડતા અને વર્ષ દરમિયાન કરેલી વિકાસની કામગીરીઓ પણ રજૂ કરતા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાસ કિસ્સામાં આઠ મહાનગરપાલિકાને 1321 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી ભાવનગર કોર્પોરેશનને 105.56 કરોડની ફાળવણી સ્પેશિયલ આસિસ્ટન્સ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત મંજુર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભાવનગર કોર્પોરેશનને 22.75 કરોડની સ્પેશિયલ આસિસ્ટન્સ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે આ વખતે પ્રથમવાર ભાવનગર કોર્પોરેશનને આટલી મોટી રકમ 105.56 કરોડ ફાળવવામાં આવી છે. જામનગર, જુનાગઢ અને ગાંધીનગર કરતા પણ વધુ ભાવનગર કોર્પોરેશનને ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ ત્યારબાદ ચોથા ક્રમે ભાવનગરને 105.56 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:43 am

આજે છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રહેશે:આજે મિલકત વેરો ભરવાનો છેલ્લો દિવસ

ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલમાં તમામ કામ પડતા મૂકી દરેક વિભાગને મિલકત વેરાની વસુલાતમાં જોડવામાં આવ્યા છે. વેરો ભરવામાં આવતીકાલ 31 માર્ચ અંતિમ દિવસ છે. ત્યારે 190 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા આજે 181.40 કરોડ સુધી પહોંચી ગયા છે. આજે એક જ દિવસમાં 3.56 કરોડની ઘરવેરાની આવક થઈ છે. આજ સુધીમાં કુલ બે લાખ કરદાતાઓએ વેરો કર્યો છે. કોર્પોરેશનની આવકના મુખ્ય સ્ત્રોત મિલકત વેરાના ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે છેલ્લા એક અઠવાડિયાથી તમામ વિભાગો દોડા દોડ કરી રહ્યા છે. આજે સોમવારે 1653 કરદાતાઓ દ્વારા 3.56 કરોડનો મિલકત વેરો ભરતા 181. 40 કરોડની આવક થવા પામી છે. આજે કુલ 53 મિલકતોને સીલ પણ કરવામાં આવેલી છે. કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં 7.37 કરોડના રિબેટ સાથે કુલ 176.55 કરોડની આવક થઈ છે. તેમજ 4.85 કરોડની જૂની કરપદ્ધતિમાંથી આવક થઈ છે. 31 માર્ચના રોજ સવારે 10 થી બપોરે 2 અને સાંજના 3 કલાકથી વેરો ભરપાઈ કરનાર છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રાખવામાં આવશે. રિકવરીમાં બેદરકારી, 25 અધિકારીઓને નોટિસભાવનગર કોર્પોરેશનમાં વેરા વસુલાતમાં જાગે ત્યારે ભાગની જેમ નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં હાફળા ફાફળા થઈ જાય છે. તમામ વિભાગોને રિકવરી માટે કામે લગાડ્યા છે. રજાના દિવસોમાં પણ અધિકારી કર્મચારીઓ પાસે રિકવરીની કામગીરી કરાવવામાં આવી રહી છે. તેમ છતાં પર્ફોમન્સ ગ્રાન્ટ મેળવવાના ટાર્ગેટ નજીક નહિ પહોંચતા હવે કોર્પોરેશન ઊંધે માથે થયું છે. ગૂગલ સીટ પર આંકડા નહિ ભર્યા હોવા તેમજ નબળી કામગીરી માટે તમામ 25 શાખા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. આવતીકાલે અંતિમ દિવસ છે તે પૂર્વે અધિકારીઓને નોટિસ અપાતા તેની વિપરીત અસરને નકારી શકાય નહીં. ઘણા વિભાગોમાં રજાના દિવસે સારી કામગીરી કરી હોવા છતાં પણ તેઓને નોટિસ અપાતા નારાજગી પણ ફેલાયેલી છે. 3જીથી કેશ કલેક્શન, ઓનલાઇન પેમેન્ટ શરૂ થશેકોર્પોરેશન દ્વારા આગામી 1 અને 2એપ્રિલના રોજ મિલકતવેરાના સોફ્ટવેરનું મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી મિલકત વેરો ભરવા માટેની કેશ કલેક્શન વિન્ડો તેમજ ઓનલાઇન પેમેન્ટની સુવિધા આ બંને દિવસો દરમિયાન બંધ રહેશે. તારીખ 3જી એપ્રિલના રોજથી સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તદુપરાંત તારીખ 1લી એપ્રિલના રોજ કોર્પોરેશનના અન્ય તમામ સોફ્ટવેરનું પણ મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી તમામ સોફ્ટવેર તેમજ ઓનલાઇન સુવિધાઓ તારીખ 1 એપ્રિલના રોજ બંધ રહેશે. સેન્ટ મેરી સ્કૂલે 1.34 કરોડ વેરો ભર્યોઆજે સેન્ટ મેરી સ્કૂલના બાકી મિલકત વેરાના રૂ.1.34 કરોડની આવક થઈ છે. સેન્ટ મેરી સ્કૂલની બાકી મિલકત વેરા બાબતે કોર્ટમાં કેસ ચાલતો હતો. અંતે વિભાગ દ્વારા સમજાવટ કરતા સમાધાનકારી વલણ રાખી અને નિકાલ કરેલ છે. સેન્ટ મેરી સ્કૂલ દ્વારા તમામ બાકી વેરો 1.34 કરોડ ભરપાઈ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:42 am

તબીબોની માનસિક સુખાકારી માટે ગ્રેટિટ્યુડ જર્નલનું લોન્ચિંગ:45થી 56% પીજી રેસિડેન્ટ ડોકટર અનુભવે છે ડિપ્રેશન

​મેડિકલ ટ્રેનિંગ દરમિયાન જોવા મળતા માનસિક તણાવ અને કામના અત્યંત ભારણને પહોંચી વળવા માટે, ભાવનગરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC) દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો માટે એક માળખાગત 'ગ્રેટીટ્યુડ જર્નલ' (કૃતજ્ઞતા ડાયરી) સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે આરોગ્ય કર્મચારીઓની માનસિક સુખાકારીને પ્રાધાન્ય આપવાની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતમાં મેડિકલ પ્રોફેશનલ્સ માટે આ એક ગંભીર સમય છે, જ્યાં સંશોધનો સૂચવે છે કે આશરે 45% થી 56 % જેટલા પોસ્ટગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ નોંધપાત્ર માનસિક થાક (Burnout) અને ડિપ્રેશનના લક્ષણો અનુભવે છે. અહેવાલો મુજબ, લાંબા કામના કલાકો, રાત્રિની ફરજો અને પૂરતી ઊંઘનો અભાવ આ માનસિક તણાવના મુખ્ય કારણો છે. GMC ભાવનગરની આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' મનોવૈજ્ઞાનિક માળખા પર તૈયાર કરવામાં આવી છે. વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેક્ટિસ મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર મુક્ત કરે છે, જે મૂડ સુધારવા અને તણાવ ઘટાડવા માટે અત્યંત આવશ્યક છે. દિવસ દરમિયાન બનેલી હકારાત્મક ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી તબીબોની માનસિક સ્થિતિસ્થાપકતા વધે છે. જર્નલની મુખ્ય વિશેષતાઓઆ જર્નલ રેસિડેન્ટ ડોક્ટરોના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં રાખીને 'માઈક્રો-રિટ્યુઅલ્સ' (નાની વિધિઓ) તરીકે તૈયાર કરવામાં આવી છે સવારનું હકારાત્મક ફ્રેમિંગ: દિવસની શરૂઆતમાં કોઈ એક સાથીદાર અથવા સાધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. સાંજનું થ્રી ગુડ થિંગ્સ (ત્રણ સારી બાબતો): દિવસની ક્લિનિકલ પડકારો વચ્ચે બનેલી ત્રણ હકારાત્મક બાબતોની નોંધ લેવી. ​વિષય આધારિત સૂચનો: દર્દીઓ સાથેની સારી વાતચીત અને સાથી તબીબોના સહકારને ઓળખવા માટેના વિશેષ વિભાગો. ક્લિનિકલ તણાવ સામે લડવા માટે સબળ સાધનઆ પ્રસંગે સંસ્થાના ડીન ડો. ચિન્મય શાહે જણાવ્યું હતું કે, મેડિકલ શિક્ષણ પડકારજનક છે અને અમારા વિદ્યાર્થીઓ અમારી તાકાત છે. આ જર્નલ દ્વારા અમે તેઓને ક્લિનિકલ તણાવ સામે લડવા માટે એક સબળ સાધન પૂરું પાડવા માંગીએ છીએ. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને મનોચિકિત્સા નિષ્ણાત ડો. અશોક વાલાએ ઉમેર્યું હતું કે તબીબોનું સારું માનસિક સ્વાસ્થ્ય દર્દીઓની સારવારની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. આ ગ્રેટીટ્યુડ જર્નલ હાલમાં 2020 બેચના ઇન્ટર્ન ડોક્ટરો અને તમામ રેસિડેન્ટ્સને વિતરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:39 am

સૌરાષ્ટ્ર સમાચાર બ્રેકિંગ:પાકિસ્તાને નકારેલું શિપ અલંગમાં પધરાવાશે!

અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના તમામ શિપ બ્રેકરો અને બંને સરકારના સંયુક્ત પ્રયાસોથી પર્યાવરણ, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માપદંડોના ક્ષેત્રે અલંગ છેલ્લા 1 દસકાથી વિશ્વમાં સુવિધાઓ, સલામતી, પર્યાવરણલક્ષી શિપ બ્રેકિંગની બાબતમાં વિશ્વમાં પ્રથમ હરોળમાં કાર્યરત છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ તદ્દન પછાત અવસ્થામાં, બિનનિયંત્રિત, પર્યાવરણ, સુરક્ષાના નિયમોનો છેદ ઉડાડીને કામ કરી રહેલા શિપ બ્રેકિંગ દેશોની યાદીમાં યાદ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા નકારી કાઢવામાં આવેલું એક મોટું ઓઇલ ટેન્કર શિપ અલંગમાં ભંગાણાર્થે આવી રહ્યું હોવાની બાબતોથી એજન્સીઓના કાન ચમક્યા છે. વર્ષ 2001મા નિર્માણ પામેલ સેરેસ-1 જહાજનું નામ અને ફ્લેગ બદલી અને તેને માલી નામથી ઓળખવામાં આવ્યુ હતુ. લાંબા સમયથી પાકિસ્તાનમાં હોવાને કારણે તેને સ્થાનિક શિપ બ્રેકરોની સવલતોને ત્યાં ભંગાણાર્થે પધરાવી દેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન જેવા નિયમોના અલ્પ પાલન માટે કુખ્યાત દેશ દ્વારા પણ તેને નકારી કાઢવામાં આવ્ય હતુ અને બાદમાં તેને અલંગમાં વેચવામાં આવ્યુ હોવાની હિલચાલને કારણે ભારતની એજન્સીઓના કાન ચમક્યા છે, અને તેના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જુલાઇ-2024માં સિંગાપોર નજીક સેરેસ-1 અને હાફનિયા નાઇલ નામના બે શિપ અથડાયા હતા અને તેમાં આગ ફાટી નિકળી હતી. સેરેસ-1 ઘટના સ્થળથી ભાગી નિકળ્યુ હતુ અને તેની ટ્રેકિંગ સીસ્ટમ પણ બંધ કરી દીધી હતી, બાદમાં કોસ્ટગાર્ડ દ્વારા તેને આંતરવામાં આવ્યુ હતુ અને સલામત એન્કરેજ પર લઇ આવ્યા હતા. ડિસેમ્બર-2024માં સેરેસ-1 શિપ વેનેઝુએલા અને ઇરાનના પ્રતિબંધિત ક્રુડ ઓઇલના માલ પરિવહનમાં સામેલ હતુ તેથી અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અકસ્માત બાદ તેને પાકિસ્તાનના કરાચી ખાતે લઇ જવામાં આવ્યુ હતુ. પ્રતિબંધિત જહાજો અંગે સરકાર અવઢવમાંઅમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ (ઓફેક) દ્વારા પ્રતિબંધ મુકાયેલા જહાજોની સંખ્યા વિશ્વમાં વિશેષ છે અને સતત વધતી જાય છે. આવા જહાજોને મર્યાદિત માલ પરિવહન વ્યવસાય મળે છે, અને તેનો નિભાવ ખર્ચ વધી રહ્યો હોવાથી જહાજ માલીકો તેને ભંગાણાર્થે મોકલવા માટેનો વિકલ્પ વધુ પસંદ કરે છે. દક્ષિણ એશિયામાં અલંગ સિવાયના સ્થળો હજુસુધી આવા શિપને મંજૂરી આપતા નથી, ભારતના અલંગમાં આવા શિપ ભંગાણાર્થે લાવવાની વિશાળ તકો છે, પરંતુ સરકારે તેના માટે સ્પષ્ટ અને પારદર્શક નિયમો બનાવવાની આવશ્યક્તા છે. હાલ આવા શિપ અલંગમાં આવે તો છે પરંતુ બેંક દ્વારા તેના માટે લોન આપવામાં આવતી નથી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:37 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:જળસેવા : 112 પાણીના પોઈન્ટથી સાવજ સહિતના પ્રાણીઓ થશે તૃપ્ત

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન્યજીવોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે ભાવનગર વન વિભાગ સજ્જ બન્યો છે. ભાવનગર વન વિભાગ કચેરી નીચે આવતી 6 વન રેન્જમાં કુલ 112 પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જેના કારણે જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓને મોટી રાહત મળશે. ભાવનગર વન વિભાગ દ્વારા રેન્જ હેઠળ ઉપલબ્ધ પાણીના પોઈન્ટને સમારકામ કરવા સહિત જરૂર જણાય તો નવા પોઈન્ટ બનાવવાનું પણ આયોજન ધરાયું છે. પાણી પોઈન્ટમાં ટેન્કર દ્વારા પાણી ભરવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે, જેથી ઉનાળામાં કોઈપણ સમયે પાણીની અછત ન સર્જાય. ઉનાળુ સિઝનમાં તૈયાર કરતાં પાણીના પોઈન્ટમાં વન્ય પ્રાણીઓ ઉપરાંત મધમાખી અને અન્ય નાના જીવ-જંતુઓ પાણી પી શકે તે માટે કોથળા અથવા શણની બનાવટની કોઈપણ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવી છે. તેમજ સાબર, ચિતલ વગેરે જેવા તૃણાહારી પ્રાણીઓ વાળા વિસ્તારમાં પાણીના પોઈન્ટથી થોડે દૂર જ્યાં છાંયડો મળી રહે તેમ હોય ત્યાં વધારાના પાણીનો નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાત પૂરી થશેભાવનગર વન વિભાગ નીચેના વિસ્તારમાં 118 સિંહ સહિતના વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં વિચરણ કરી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં વન્ય વિસ્તારોમાં પાણી જરૂરિયાત ઉભી થતી હોય છે. વન્ય પ્રાણીઓના કુદરતી ખોરાકની સાથે પાણીની જરૂરિયાત પણ પૂર્ણ થાય તેવા હેતુથી કૃત્રિમ રીતે પાણીના 112 પોઇન્ટ ઊભા કરાયા છે. જેથી વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાત પુરી થશે. > યોગેશ દેસાઇ, નાયબ વનસંરક્ષક, ભાવનગર વન વિભાગ 6 રેન્જમાં કેટલા પાણીના પોઈન્ટ ?◾ભાવનગર રેન્જ 21 પોઈન્ટ◾ પાલિતાણા રેન્જ 23 પોઈન્ટ◾મહુવા રેન્જ 22 પોઈન્ટ◾સિહોર રેન્જ 11 પોઈન્ટ◾જેસર રેન્જ 24 પોઈન્ટ◾વલભીપુર રેન્જ 11 પોઈન્ટ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 38 વોટર પોઇન્ટ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરી નીચેની વેળાવદર અને મોબાઈલ સ્ક્વોડ રેન્જમાં પણ ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈ વન્યજીવો માટે પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે. જેમાં વેળાવદર રેન્જ નીચેની કાળાતળાવ બીટમાં 15, ભડભીડ બીટમાં 7 અને મેવાસા બીટમાં 4 મળી કુલ 26 પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે. તેમજ મોબાઈલ સ્ક્વોડ રેન્જમાં સનેસ બીટમાં પણ 12 પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:35 am

સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:કરૂણાનું રોકાણ : ઓસ્ટ્રેલિયાની 19 વર્ષની કમાણી ખર્ચી શેરીના શ્વાન માટે બે એકરમાં ઉભી કરી સિમ્બાઝ સેન્ચ્યુરી

આ ધરતી પર જીવવાનો દરેક જીવને અધિકાર છે..' બસ આ જ ધ્યેય સાથે મૂળ ભાવનગરના અને 19 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રચના પારેખે પોતાના બિઝનેસમાં જીવનભરની કરેલી કમાણી શેરીના બીમાર અને નિરાધાર શ્વાન પાછળ ખર્ચી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘોઘા તાલુકાના મોરચંદ ગામમાં બે એકર જગ્યામાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે શ્વાનનું રિટાયરમેન્ટ હોમ અને રિહેબિલીટેશન ફેસીલીટી ઉભી કરી છે. છેલ્લા 19 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરતા રચના પારેખ ટીન્સ્કીનું સિમ્બા નામનું પાલતુ શ્વાન બીમારીને કારણે મૃત્યુ પામ્યું હતું. જેથી તેઓ આઘાતમાં સરકી ગયા હતા. પરંતુ રડવાથી કંઈ મળે તેમ મન મક્કમ કરી ભાવનગર પોતાના વતન આવ્યા. ભાવનગરની શેરીઓના શ્વાનને સ્થિતિ જોઈ હૃદય દ્રવી ઉઠ્યું હતું. જેથી શેરીના બીમાર, નિરાધાર, ઘવાયેલા અને જેની માતા મૃત્યુ પામેલી છે તેવા શ્વાનના બચ્ચાની સારસંભાળ તેમજ સારવાર માટે ઘોઘા તાલુકાના મોરચંદ ગામે બે એકર જગ્યામાં સિમ્બાઝ સેન્ચ્યુરી નામના શ્વાનના રિટાયરમેન્ટ હોમ અને રીહેબિલિટેશન ફેસીલીટી શરૂ કરી છે. જિંદગીમાં જે કમાયાં તે શ્વાન પાછળ ખર્ચ કરી રચના પારેખ આત્મસંતોષ માણી રહ્યા છે. સિમ્બાઝ સેન્ચ્યુરીમાં દોઢસોથી વધુ શ્વાનને હાલમાં સંભાળ અને સારવાર કરવામાં આવી રહી છે. તેમજ લોકોમાં પણ જાગૃતિ લાવી શ્વાન પર અત્યાચાર નહીં કરવાની પોઝ યુનિવર્સ ફાઉન્ડેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સિમ્બાઝ સેન્ચ્યુરીમાં રચના પારેખ ટીન્સ્કી સાથે ધર્મેન્દ્ર તીરડીયા અને આદિત્યસિંહ ગોહિલ પણ ફાઉન્ડર તરીકે સેવા આપી રહ્યા છે. શ્વાન સતત તજજ્ઞોની દેખરેખ હેઠળ રહે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવાયેલું રિટાયરમેન્ટ હોમ અને રીહેબિલીટેશન ફેસીલીટી ભાવનગરમાં કદાચ પ્રથમ બની રહેશે. રોજ ગ્રાઉન્ડમાં લઈ જવાય, 50 ફૂટ દોડી શકે તેટલા ગાળાસિમ્બાઝ સેન્ચ્યુરીમાં શ્વાનઓને 50 ફૂટ દોડી શકે તે રીતે તેઓની સેપરેટ જગ્યાના ગાળા રખાયા છે. શ્વાનઓ અંદર ખુલ્લી રીતે હરી ફરી શકે છે. તેટલું જ નહીં પરંતુ દરરોજ શ્વાનઓને ગ્રાઉન્ડમાં પણ લઈ જવાય છે અને તેઓને રમાડવામાં આવે છે. 24 કલાક શ્વાનનની દેખરેખ રાખી રેગ્યુલર ચેકઅપ કરાય છે. શ્વાનને પંખા, કુલર અને ગરમીમાં રાહત માટે ફુવારાની પણ સુવિધાસિમ્બાઝ સેન્ચ્યુરીમાં શ્વાન માટે તમામ જાતની સગવડતા ઊભી કરવામાં આવી છે. હાલમાં ગરમીનું વાતાવરણ હોવાથી શ્વાનઓ માટે પંખા, કુલર તેમજ સ્પ્રિન્કલ ફુવારાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ પાણીના મુકાયેલા કુંડામાં પણ દિવસમાં ત્રણ વાર પાણી બદલાવામાં આવે છે. શ્વાનના ફિટનેસનું ધ્યાન રાખી વેટરનરી ડોક્ટરની સલાહ મુજબ ખોરાક આપવામાં આવે છે. બીમાર શ્વાનને વધુ સારવાર માટે મોકલાય છે અમદાવાદશેરીઓમાં ઈજાગ્રસ્ત અને બીમાર શ્વાનને સિમ્બાઝ સેન્ચ્યુરીમાં લાવવામાં આવે છે, પરંતુ ઘણીવાર ગંભીર ઈજા અથવા બીમાર શ્વાનઓને સ્થાનિક કક્ષાએ અદ્યતન સુવિધા ન મળે તો તેમને અમદાવાદ પોઝ યુનિવર્સિટી સુપર સ્પેશિયાલિટી વેટરનરી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:30 am

રામાયણ ફાર્મ ખાતે સંગરાત્રીનું આયોજન કરાયું:રંગીન વસ્ત્રો, મીઠા સૂર સાથે ગરબાની સંગરાત્રી

રામાયણ ફાર્મ ખાતે સંગરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ચણિયા-ચોળી, કેડિયા અને વિવિધ ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ યુવાનો, મહિલાઓ અને પરિવારો ગરબાના તાલે ઝૂમ્યા હતા. લોકગીતો અને આધુનિક સંગીતના સંગમ સાથે ગરબાની રમઝટ જામતાં સમગ્ર માહોલ રંગીન અને ઊર્જાવાન બન્યો હતો. સાંઈ ગરબા ક્લાસ દ્વારા આયોજીત આ કાર્યક્રમ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના ગરબા સ્ટેપ્સનું પણ ખાસ આકર્ષણ રહ્યું હતું. પાર્ટિસિપન્ટ્સે બેઝિક બે તાળી, ત્રણ તાળી, હિંચ અને ડોડિયા જેવા પરંપરાગત સ્ટેપ્સ સાથે સાથે નવીન અને ફ્યુઝન સ્ટાઈલના સ્ટેપ્સ પણ રજૂ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:11 am

લવ એલ્ગોરિધમ અંગે હિમાંશુ સાણંદિયાનું માર્ગદર્શન:પ્રેમ માત્ર લાગણી નહી, આકર્ષણ, કનેક્શન અને ડેડિકેશન આધારિત જીવંત અનુભવ છે

મોટા વરાછા સ્થિત સરદાર ધામમાં “લવ એલ્ગોરિધમ” વિષય પર માર્ગદર્શનાત્મક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સાયકોલોજી એક્સપર્ટ હિમાંશુ સાણંદિયા વક્તા તરીકે જોડાયા હતા અને પ્રેમના મનોવિજ્ઞાનિક પાસાઓ પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. પ્રેમને જીવંત રાખવા કન્શિયસનેસ, કંપેશન અને એકશન જરૂરી છેપ્રેમ કોઈ એક માત્ર લાગણી નથી, પરંતુ તે ત્રણ મુખ્ય આધાર આકર્ષણ, કનેક્શન અને ડેડિકેશન પર આધારિત એક જીવંત અનુભવ છે. ડિઝાયર શરૂઆતનું આકર્ષણ છે, જે વ્યક્તિને એકબીજા તરફ ખેંચે છે. પરંતુ લાંબા ગાળે સંબંધને મજબૂત બનાવવામાં કનેક્શન અને ડેડિકેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડેડિકેશન આધારિત પ્રેમમાં સ્વતંત્રતા, સહયોગ અને આપવાની ભાવના વિકસે છે. સાચો પ્રેમ ત્યારે ખીલે છે જ્યારે સંબંધમાં સમર્પણ અને સમજણ બંને હોય. તેને જીવંત રાખવા માટે ત્રણ મહત્વના તત્વો કન્શિયસનેસ, કંપેશન અને એકશન જરૂરી છે. કન્શિયસનેસ દ્વારા વ્યક્તિ પોતાના અને પાર્ટનરના વિચારો અને ભાવનાઓને સમજવા સક્ષમ બને છે, જ્યારે કંપેશન સંબંધમાં સહાનુભૂતિ અને સ્વીકાર લાવે છે. એકશન પ્રેમને વર્તનમાં ઉતારવાનું સાધન છે, જે નાની-નાની કાળજી, સમય અને પ્રયત્નો દ્વારા વ્યક્ત થાય છે. લવ સ્વીકાર, વિશ્વાસ અને આંતરિક પૂર્ણતામાંથી જન્મે છે, જેમાં સામેની વ્યક્તિને બદલવા કરતાં તેને સ્વીકારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ સંબંધ એક સુરક્ષિત જગ્યા બને છે, જ્યાં સમજણ, સહાનુભૂતિ અને ગ્રોથ મહત્વનું પરીબળ હોય છે. જેમાં પરસ્પર વિશ્વાસ સાથે પોતે જ સાચા છે તેઓ અભિગમ છોડીને સંબંધને વધુ ઊંડો, શાંત અને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાય છે. seminar

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:10 am

કીમમાં પોતાની કંપની હોવાનું કહીને કરોડોની ઠગાઈ:સચિન GIDCના વેપારી પાસેથી 1.45 કરોડની જરીનું મટિરીયલ લઇને પિતા-પુત્રએ ફુલેકું ફેરવ્યું

સચિન જીઆઇડીસીમાં આ‌વેલી ફેક્ટરીના માલિકને પાસેથી રૂ. 1.45 કરોડની કિંમતનું લેકર ફિલ્મ અને જરીનું મટિરિયલ ઉધારમાં લીધા બાદ કિમમાં આવેલું પોતાનું કારખાનું બંધ કરીને નાસી ગયેલા પિતા પુત્ર સામે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સલાબતપુરા ધામલાવાડ ખાતે રહેતા અમિત નગીનદાસ કાપડિયા સચિન જીઆઇડીસીમાં શિવ શક્તિ જરીના નામે ફર્મ ધરાવે છે અને લેકર ફિલ્મ અને જરી બનાવવાનો ધંધો કરે છે. ફેબ્રુઆરી 2025ના રોજ તેમની ફેક્ટરી પર ભરત વિઠ્ઠલ ફિનાવીયા આવ્યા હતા. કીમ માંડવી રોડ પર આવેલા મોલવનગામમાં એન્જેલિયા પોલીફિલ્મસ ઇન્ડ.ના નામે તથા સચિન જીઆઇડીસી ડાયમંડ ઇન્ડ.પાર્કમાં એનજલ ઇન્ડસ્ટ્રીઝના નામે ફેકટરી હોવાનું તથા તેમને લેકર ફિલ્મની વધારે જરૂર પડતી હોવાનું કહ્યું હતુ. તેમની વચ્ચે 30 દિવસમાં પેમેન્ટ કરવાનું નક્કી થયું હતું. જેથી ફેબ્રુઆરી 2025માં અમિતે રૂ.3.31 લાખનો માલ મોકલ્યો હતો. જેનું સમયસર પેમેન્ટ કરીને ભરત અને તેના પિતા વિઠ્ઠલે વિશ્વાસ કેળવી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:07 am

છાત્રોને એક્સપર્ટ સાથે સીધી વાત કરવાની તક મળશે:ચૂંટણી પંચે ત્રણ નવા પ્રોજેક્ટ લોન્ચ કર્યા, દિલ્હીની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ-રિસર્ચમાં વિદ્યાર્થી જોડાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ચમકવાની મોટી તક આવી છે. ભારતના ચૂંટણી પંચની ટ્રેનિંગ અને રિસર્ચ વીંગ એટલે કે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) મારફતે વર્ષ 2026 માટે ત્રણ નવી શૈક્ષણિક પહેલ શરૂ કરાઈ છે. આ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને VNSGUની કોલેજો સહિત દેશભરની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પત્ર લખીને આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને જોડવા તાકીદ કરાઈ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં લોકશાહી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ચૂંટણી સંચાલન જેવા વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને જર્નાલિઝમ, પોલિટિકલ સાયન્સ અને લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ્સ કેરિયર બનાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જૂન 2026 માં દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પસંદગી પામેલા રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવશે. આ જ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરાશે, તેમ સૂત્રોએ કહ્યું હતું. આ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જોડાઈ શકશે આ છે ચૂંટણી પંચના પ્રોજેક્ટ

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:06 am

NTAની કડક સૂચના:વિદ્યાર્થીઓ એક મિનિટ પણ મોડા પડ્યા તો JEEમાં એન્ટ્રી નહીં મળે

NTA દ્વારા એપ્રિલમાં યોજાનારી JEE મેઈન સેશન-2 પરીક્ષાના એડમિટ કાર્ડ સત્તાવાર પોર્ટલ પર જાહેર કરાયા છે. સુરતના વિદ્યાર્થીઓએ છેલ્લી ઘડીની ટેકનિકલ સમસ્યાઓથી બચવા વહેલી તકે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી જોઈએ. એડમિટ કાર્ડમાં નામ, ફોટો કે સહીમાં ભૂલ જણાય તો NTA હેલ્પલાઈન નંબર 011-40759000 પર સંપર્ક કરવો. જે પછી એજન્સીને જાણ કર્યા બાદ સુધારાની પ્રક્રિયા હાથ ધરાશે. NTA ની સૂચના મુજબ, પરીક્ષા શરૂ થવાના દોઢ કલાક પહેલા રિપોર્ટિંગ શરૂ થશે અને ગેટ બંધ થવાના અડધો કલાક પહેલા પ્રવેશ બંધ કરી દેવાશે. નિયમ મુજબ, ઉમેદવારોએ ગેટ બંધ થવાના 1 કલાક વહેલા કેન્દ્ર પર હાજર થઈ જવું પડશે. જો ઉમેદવાર 1 મિનિટ પણ મોડું થશે તો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:03 am

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ:300% નફાની લાલચ આપી વેપારી સાથે 5 લાખની ઠગાઈ

300 ટકા નફો અપાવવાની લાલચ આપીને ગઠીયાએ શેરબજારમાં રોકાણના નામે રૂપિયા પડાવી લઇને રૂ.5.32 લાખની ઠગાઇ કરનાર ગઠીયા વિરૂદ્ધ સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે. અઠવાલાઇન્સ સ્થિત પુજા અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા મનલ્પ વિરેન્દ્રકુમાર શાહ (ઉવ,32) જેમ્સ સ્ટોનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવેમ્બર 2025માં સોશિયલ મીડિયા પર શેર બજારમાં રોકાણ કરી નફો કમાવવાની જાહેરાત જોઇ હતી. જ્યારે મનલ્પે ક્લિક કરતા તેમને C205 Market Trenda (ARES) નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ સરબરી સાહા અને ઇશિકા નામની વ્યક્તિએ એડમિન હોવાનું અને તેણે શેરબજારની માહિતી આપી રોકાણ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ગઠિયાઓએ તેમને Ares Diversified નામની એક નકલી એલ્પપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ગઠીયાએ તેમને એપ્લિકેશનમાં નફો થતા હોવાનું બતાવીને ટુકડે ટુકડે રૂ.11.70 લાખ જમા કરાવ્યા હતા. જોકે, બાદમાં રૂ. 5.75 લાખ જ વીડ્રો કરવા દીધા હતા. બાકીના રૂ. 5.32 લાખ વીડ્રો કરવા દીધા ન હતા. જ્યારે આ રુપિયા વીડ્રો કરવા માટે 20 ટકા પ્રોફિટ શેરિંગ પેટે રૂ. 2 લાખ ભરવા દબાણ કર્યુ હતું. આખરે વેપારી મનલ્પ શાહને છેતરપિંડી કર્યાનો એહેસાસ થતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:01 am

બંગાળી કારીગરે કર્યો વિશ્વાસઘાત:વેસુની મહિલા વેપારી પાસેથી ઘરેણાં બનાવા માટે 31.45 લાખનું સોનું લઇને કારીગર ફરાર

વેસુ વિસ્તારમાં રહેતા મહિલા જ્વેલર્સ પાસેથી ઘરેણાં બનાવવા માટે સોનું અને ડાયમંડ મળી કુલ રૂ.31.45 લાખનો મુદ્દામાલ લઇને છેતરપિંડી કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વેસુ જોલી રેસીડેન્સી પાસે આવેલા એસએનએસ સ્પ્લેન્ડીડમાં રહેતા રોશના બિપીનકુમાર સાકરીયા છેલ્લા સાત વર્ષથી આર.ડી જ્વેલર્સના નામે ઘરેથી સોના અને હીરાના ઘરેણાં વેચવાનો ધંધો કરે છે. હરિપુરા ભવાની મંદિર પાસે પંચોલી શેરીમાં ઓફિસ ધરાવતા નયનશીલ ઉર્ફે બિંદુ સોના-હીરાના દાગીના બનાવવાનું કામ કરે છે. એપ્રિલ 2025માં રોશની સાકરિયાએ તેની પાસે સોનાના દાગીના મજુરી પર બનાવવાનું શરૂ કર્યું હતું.તેઓ કાચુ સોનું આપતા હતા જેમાંથી બિંદુ દાગીના બનાવી આપતો હતો. જ્યારે બચેલુ સોનું પોતાની પાસે રાખીને બીજા ઓર્ડરમાં સોનું ઉપયોગ કરી લેવાનું કહેતો હતો. આ રીતે બિંદુએ મહિલા રોશની સાકરીયા પાસેથી રૂ.30.80 લાખની કિંમતનું 220 ગ્રામ સોનું અને રૂ.65,000ની કિંમતના 1.56 કેરેટ હીરા પોતાની પાસે જમા રાખ્યા હતા. જ્યારે રોશનીએ જમા રાખેલા પોતાના સોના અને ડાયમંડમાંથી દાગીના બનાવવાનું કહેતા બિંદુએ બહાના બનાવવાનું શરૂ કરી દીધુ હતું. બાદમાં પોતાની ઓફિસ બંધ કરીને કોલકાતા નાસી ગયો હતો. આખરે રોશની સાકરિયાએ વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:01 am

'અમારા વિસ્તારના કોર્પોરેટરો ડોકાય તો ઓળખીને':ખાડીપૂર સમયે શેરીઓમાં ત્રણ ત્રણ દિવસ પાણી ભરાયેલા રહે, મતદાર બોલ્યા- 'હવે તો પહેલા કામ પછી જ મત'

સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 22 (ભટાર-વેસુ-ડુમ્મસ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ભાસ્કરની ટીમ જ્યારે આ વિસ્તારના આઝાદનગર અને રસુલાબાદ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, સ્થાનિકો પાયાની સુવિધાઓથી વંચિત છે. વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી લોકોમાં સિસ્ટમ પ્રત્યે ભારે નારાજગી છે. અહીંના લોકોના મનમાં એક જ સવાલ છે કે જો 5 વર્ષમાં કામ ન થતા હોય તો ચૂંટણી સમયે જ નેતાઓ કેમ દેખાય છે? આઝાદનગરના રહીશો ખાડીપૂર અને ગંદકી વચ્ચે જીવવા મજબૂરઆઝાદ નગર વિસ્તારની સ્થિતિ દર વર્ષે ચોમાસામાં અત્યંત દયનીય બની જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં દર 2 વર્ષે ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. માત્ર પાણી જ નહીં, પરંતુ ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. સ્થાનિક રહેવાસી સોપુબેન ચૌહાણે રોષ ઠાલવતા જણાવ્યું કે, અમે અહીં 35-40 વર્ષથી રહીએ છીએ, પણ અહીં માત્ર મુખ્ય રોડ જ સાફ થાય છે. અંદરની ગલીઓમાં એટલી ગંદકી છે કે રહેવું મુશ્કેલ છે. સફાઈ કામદારો આવે છે પણ ઉપરછલ્લું કામ કરીને ચાલ્યા જાય છે. 'પીવાના પાણીમાં કીડા, કોર્પોરેટર કોણ છે એ પણ અમને ખબર નથી'આધુનિક સુરતની વાતો વચ્ચે આઝાદનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. જનાબેન નામના મહિલાએ જણાવ્યું કે, સવારના સમયે નળમાં જે પાણી આવે છે તે અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે. ઘણીવાર તો પાણીમાં જીવતા કીડા પણ જોવા મળે છે. તંત્રને અનેકવાર અરજીઓ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીંના મોટાભાગના મતદારો પોતાના વિસ્તારના કોર્પોરેટરના નામ કે ચહેરાથી પણ અજાણ છે. લોકોનું કહેવું છે કે, અમારા વિસ્તારમાં કોઈ કોર્પોરેટર ડોકાતા જ નથી, તો અમે ઓળખીએ કોને? ચૂંટણી સમયે જ નેતાઓ ગીધની જેમ કેમ તૂટી પડે છે?સ્થાનિક રહીશ પોપટભાઈએ નેતાઓની કામગીરી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીના પાંચ વર્ષમાં નેતાઓ ક્યારેય જોવા મળતા નથી, પણ જેવી ચૂંટણી નજીક આવે એટલે એક આ બાજુ ભાગે અને બીજો પેલી બાજુ. તેમણે નેતાઓની સરખામણી ગીધ સાથે કરતા કહ્યું કે, જેમ કંઈ પડેલું હોય અને તેના પર ગીધડા બેસી જાય, તેમ ચૂંટણી આવતા જ નેતાઓ મતની લાલચમાં દોડી આવે છે. એકવાર ચૂંટણી પતી જાય એટલે ફરી પાંચ વર્ષ સુધી કોઈ ડોકાતું નથી. હાલમાં અહીં રિક્ષા સ્ટેન્ડ અને ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે કે લોકોને ચાલવા માટે રસ્તો પણ મળતો નથી. સ્ટોર્મ લાઇન કાગળ પર, હકીકતમાં ચોમાસામાં જનજીવન નર્કાગારસરકાર અને તંત્ર દ્વારા મોટાપાયે 'સ્ટોર્મ વોટર લાઈન'ના પ્રોજેક્ટ્સની વાતો કરવામાં આવે છે, પરંતુ આઝાદનગરના પ્રભાકર કાશીનાથ લાઠે જણાવે છે કે, આ બધું માત્ર ટીવી અને પેપરમાં જ સીમિત છે. હકીકતમાં જ્યારે ખાડી ભરાય છે ત્યારે પાણીનો નિકાલ થતો નથી અને બે-ત્રણ દિવસ સુધી શેરીઓમાં પાણી ભરાયેલા રહે છે. ગંદા પાણી અને કચરાના કારણે આ વિસ્તારમાં મહામારી ફેલાવાનો ભય સતત રહે છે. સ્થાનિકોની તંત્ર પાસે એક જ અપીલ છે કે ડ્રેનેજ સિસ્ટમ સુધારો અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવો. સ્લમ વિસ્તારની અવગણના: અમારી સમસ્યાનું નિવારણ અમારે જ કરવું પડે છેમદન રામચંદ્ર નામના મતદારે જણાવ્યું કે, નેતાઓ અને કોર્પોરેટરોના મનમાં કદાચ એવું બેસી ગયું છે કે, આ સ્લમ વિસ્તાર છે એટલે અહીં જવાની જરૂર નથી. પાંચ વર્ષ વીતી ગયા છતાં કોઈએ જનતાની સમસ્યા જાણવાની કોશિશ કરી નથી. લોકોનું કહેવું છે કે જનતા શું વિચારે છે એના પર કોઈ વિચાર કરતું નથી. એટલે જ આ વખતે લોકો મક્કમ છે કે જો પાયાની સુવિધાઓ જેવી કે સફાઈ અને ચોખ્ખું પાણી નહીં મળે, તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. લોકોમાં હવે એક જ ગુંજ છે: “પહેલા કામ કરો, પછી જ મતની અપેક્ષા રાખો.”

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

'અહીંયા તો બધુ બાઈ બાઈ ચાળણી જેવું છે':વસ્ત્રાલના કોર્પોરેટરના કામની વાત આવતા જ કાકા બરાબરના બગડ્યા, મેટ્રો અને સ્પોર્ટસ કોમ્પલેક્સના કામથી લોકો ખુશ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 41 એટલે કે વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે ભાસ્કર વસ્ત્રાલ વોર્ડમાં પહોંચ્યું. કેટલાક લોકો અહીંના વિકાસથી ખુશ દેખાયા તો કેટલાક મતદારો આક્રોશિત જોવા મળ્યા. આજે વાત વસ્ત્રાલ વોર્ડના મતદારોની. અહીં વિકાસની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ થયો છે- અભિષેકભાઈવસ્ત્રાલના રહીશ અભિષેકભાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં મોટાભાગે જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા છે. પેવર બ્લોકના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. એક જગ્યાએ પેવર બ્લોક નાખી કાઢી નાખવામાં આવ્યા હતા.ત્યારબાદ ફરી નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા. આગળ રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું પણ નથી. વસ્ત્રાલમાં વિકાસ તો થયો જ છે. પણ સાથે સાથે ભ્રષ્ટાચાર પણ એટલો જ થયો છે. જ્યારે અમે વસ્ત્રાલ વોર્ડમાં નિરાંત ચાર રસ્તા પાસે પહોંચ્યા તો લોકોના જણાવ્યા મુજબ, હમણાં 2 મહિના પહેલા ત્યાં ટ્રાફીક સિગ્નલ લાગી જવાને કારણે ટ્રાફીક જામ ઓછો જોવા મળ્યો હતો. જોકે લોકોના જણાવ્યા અનુસાર, આ મેટ્રો સ્ટેશન વાળા રૂટ પર વરસાદ દરમિયાન કેડસમા પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હોય છે. મેટ્રો રૂટથી અંદરના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. વસ્ત્રાલ વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી રહેતા હેત પંચાલે જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં હજી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સમસ્યાઓ પણ ખૂબ જોવા મળે છે જેમ કે રસ્તાઓ ખોદીને રાખ્યા છે પરંતુ તેની માટે કોઈ વૈકલ્પિક રસ્તો આપવામાં આવતો નથી. આ વિસ્તારમાં વરસાદની સિઝનમાં મોટાભાગના લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે જે પણ નોકરીયાત વર્ગ અથવા વિદ્યાર્થીઓ હોય છે તે પોતે આ રસ્તા પરથી પસાર થતાં પોતાના વ્હીકલ માં પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ જતા હોય છે અને દરેક લોકોને ખૂબ તકલીફ પડતી હોય છે. મને અમારા કોર્પોરેટરનું નામ નથી ખબર પરંતુ તેમના એડ્રેસની ખબર છે. રસ્તા પર ભરાતી શાકમાર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાઅન્ય રહીશ ભાવિકભાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં ડેવલપમેન્ટ તો સારું થયું છે. પણ નિરાંત ચાર રસ્તા પાસે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી એ પણ છેલ્લા 2 મહિનાથી સિગ્નલને કારણે ઓછી થઈ ગઈ છે. પરંતુ મેટ્રો સ્ટેશન પિલર 135થી સ્વામિનારાયણ મંદિર જતો રસ્તો ખૂબ જ ટ્રાફિક જામ થઈ જતો હોય છે. ત્યાં સાંજે સબ્જી માર્કેટ લાગે છે. તેને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પ્રજાને ખાલી લુખ્ખા વચન અપાય છે, કોઈ સાંભળતુ નથી- ભરતસિંહભરતસિંહે જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં કોઈપણ ટ્રાફિક વ્યવસ્થા જળવાતી નથી. આ સમસ્યાનો ઉકેલ કોણ લાવશે? પ્રજાનું કોણ સાંભળશે? પ્રજા વતી સત્તા પર બેસો છો તો પ્રજાનું ધ્યાન તો આપો. ખાલી સત્તા પર આવવા માટે બધું પ્રજાને દેખાડે છે પણ એમાંનું કંઈ થતું નથી. બાઈ બાઈ ચાળણી જેવું છે. પબ્લિક આમથી તેમ ભટકી રહી છે. ખાલી પ્રજાને લુખ્ખા વચનો આપે છે પણ પ્રજાનું કોઈ સાંભળતું છે નહીં. આ સમસ્યા પ્રજા ક્યાં સુધી સહન કરશે? એનો અંત તો આવશે કે નહીં? કોઈ આખી ટર્મ પૂરી થઈ જાય, કોઈ પણ તમે જઈને પૂછો કે આ વ્યક્તિ કોણ છે તો પ્રજાએ એને જોયો જ નથી હોતો. ‘વસ્ત્રાલના નવા વિસ્તારોના આંતરિક રસ્તાઓ પર ધ્યાન આપવાની જરુર’વસ્ત્રાલના રહીશ જી. એસ. રાઠોડના જણાવ્યા અનુસાર, અનિરુદ્ધ સિંહ ઝાલા, પરેશ ભાઈ, ચંદ્રિકા બેન અને ગીતા બેન નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. કોઈપણ પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર તેમને મળી શકાય છે. દશામાતાના મંદિરથી મહાદેવ ફાર્મ સુધીના મુખ્ય રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે. પાણી પુરવઠામાં નોંધપાત્ર સુધારો થયો છે અને નવી લાઈનો નાખવામાં આવી રહી છે. નવા વિકસિત વિસ્તારોના આંતરિક રસ્તાઓ પર હજુ ધ્યાન આપવાની જરૂર છે. સાંજના સમયે થતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સમર્પિત 'શાકભાજી માર્કેટ' (સબ્જી મંડી) અને પાર્કિંગની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

રાજ્યની 6 સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રક્રિયા હાથ ધરાઈ:ME/ M. Techની બેઠક પર 9 એપ્રિલ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે, 358 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા

રાજ્યની 6 પ્રાઇવેટ સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ME/ M. Tech. અભ્યાસક્રમોમાં ફક્ત GATE પરીક્ષાના માન્ય સ્કોર આધારિત ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં 25 ટકા એસીપીસી બેઠક પર આગામી 9 તારીખ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કરી શકશે. વર્ષ 2025- 26માં 242 બેઠકોમાંથી માત્ર 25 જ બેઠકો ભરાઈ હતી. જ્યારે આ વર્ષે 358 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 358 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી માત્ર ક્વોલિફાઈંગ GATE સ્કોરના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. વિવિધ વિદ્યાશાખાઓમાં અંદાજે 358 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયામાં અત્યારે B.E/B. Tech માં પાસ થયેલા અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલા અને વર્ષ 2026માં પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. પરંતુ આવા વિદ્યાર્થીઓને પ્રવેશલાયકાત પૂર્ણ કરવાની શરતે ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 9 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ ચોઈસ ફિલિંગ અને વેરિફિકેશન 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ચાલવાનું છે. રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન સરકારી, અન્ય અનુદાનિત સંસ્થા તથા પ્રાઇવેટ સંસ્થાઓ ખાતે એમ. ઇ/ એમ. ટેક અભ્યાસક્રમની ઉપલબ્ધ બેઠકો પર ગત વર્ષની જેમ જ PGSET-GATE પરીક્ષાના આધારે ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ પ્રવેશ કાર્યવાહીની મંજૂરી મળ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા મે-જૂન 2026માં શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે:અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે, 19 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ અને સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત,109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8)નું લોકાર્પણ કરશે. આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. આ પણ વાંચો: 45 મિનિટમાં ધોલેરા-બુલેટ સ્પીડે ભાવનગર,11 ફાંટાવાળા એક્સપ્રેસ-વેનો ડ્રોન વીડિયો કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાં જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ જશે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. જ્યારે માઇક્રોનમાં 2027 આવતા આવતા રોજ 10 લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે. આમ 70 લાખ જેટલા સેમિકન્ડક્ટર બનવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કૂલ 4 પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે. 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણજ્યારે મહાવીર જયંતિ નિમિત્તે ગાંધીનગર પાસે આવેલા પવિત્ર કોબા તીર્થ ખાતે પીએમ મોદીના વરદ્ હસ્તે નવનિર્મિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કરાશે. આ મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓનો સંગ્રહ નથી, પરંતુ ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના શાશ્વત મૂલ્યોને વિશ્વ સમક્ષ ઉજાગર કરતું એક જીવંત માધ્યમ બની રહેશે. મુખ્યમંત્રી અને ટોરેન્ટ ગ્રુપના માલિક સહિતના મહાનુભાવો રહેશે હાજરઆ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા(ટોરેન્ટ ગ્રુપના માલિક) સહિત દેશભરના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્ન જોડાયેલું છે. તેમણે છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે આશરે 2,00,000 કિલોમીટરની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાંથી દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું છે. આ અમૂલ્ય ખજાનાને અત્યંત શ્રદ્ધાપૂર્વક આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. સમ્રાટ સંપ્રતિ અશોકના પૌત્ર હતાસમ્રાટ સંપ્રતિના નામ પરથી રાખવામાં આવેલ આ મ્યુઝિયમ જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરે છે. સમ્રાટ સંપ્રતિ અશોકના પૌત્ર હતા અને જૈન પરંપરામાં ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા, જે અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને જૈન ધર્મના પ્રચારમાં તેમના કાર્ય માટે જાણીતા હતા. મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિભાગમહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત, આ મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિભાગો છે, જે દરેક ભારતની સભ્યતા પરંપરાઓના અનન્ય પાસાઓને સમર્પિત છે. તે મુલાકાતીઓને સદીઓ જૂના જ્ઞાન અને વારસા સાથે જોડે છે. આ મ્યુઝિયમમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસા સંગ્રહને સાચવવામાં આવ્યો છે. જેમાં જટિલ રીતે બનાવેલા પથ્થર અને ધાતુના શિલ્પો, વિશાળ મંદિર પ્લેટો અને યંત્ર પ્લેટો, લઘુચિત્ર, ચાંદીના રથ, સિક્કા અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. આ બધા સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત થાય છે. વિશાળ રૂમમાં રાખવામાં આવેલા અને બે હજારથી વધુ દુર્લભ વસ્તુઓનો ખજાનો ધરાવતું, મ્યુઝિયમ મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેના ઊંડા સાંસ્કૃતિક પ્રભાવની સમજ મેળવવા માટે સક્ષમ બનાવે છે. સાણંદમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ, કેઇન્સ પ્લાન્ટની વિશેષતાઓઉત્પાદન ક્ષમતા: આ પ્લાન્ટમાં દરરોજ અંદાજે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે.OSAT સુવિધા: આ પ્લાન્ટ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) તરીકે કાર્ય કરશે, જ્યાં સેમિકન્ડક્ટર ચિપ્સનું અત્યાધુનિક ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે.રોજગારી અને વિકાસ: માઇક્રોન બાદ આ બીજો મોટો પ્લાન્ટ સાણંદમાં શરૂ થવાથી સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો આવશે અને આનુષંગિક ઉદ્યોગોને વેગ મળશે. વિશ્વમાં બનતી આઠમાંથી પાંચ પ્રકારની ચિપ આપણે ત્યાં બનશે થોડા સમય પહેલા કેન્દ્ર સરકારમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો, 1962ની સાલથી ભારત સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું છે, આજે આપણે સફળ થઈ રહ્યા છીએ. 2029 સુધીમાં ભારતની ગણતરી ટોચના પાંચ સેમિકન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ દેશોમાં થશે. વૈશ્વિક રીતે જોઈએ તો કુલ આઠ પ્રકારની કેટેગરીનાં સાધનોમાં સેમિકન્ડક્ટર ચિપ વપરાય છે. એમાંથી પાંચ કેટગરીની ચિપ ભારતમાં બને એવું આયોજન છે. એક મહિના પહેલા જ મોદીએ દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતીગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધ્યું છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ પીએમ મોદીએ સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP(એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસેલિટીનો પ્રારંભ કરાવી દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

સમર વેકેશન ટૂર 15% મોંઘી, દુબઈનો ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો:હિમાચલ, સિક્કિમ અને કાશ્મીરનો ક્રેઝ, 3 સ્ટાર પેકેજના ગુજરાતીઓ 3 લાખ સુધી ચૂકવશે

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધની અસર ટૂરિસ્ટોની વેકેશન ટૂર પર પડવાની છે. આ વખતે ઉનાળાના વેકેશનમાં ગુજરાતીઓ ઇરાનની નજીક આવેલા દુબઇ અને તુર્કીને બદલે સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, માલદિવ્સ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ જવાનું પસંદ કરશે. હાલ દુબઈનો તમામ ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો છે. જ્યારે યુરોપ હરવા ફરવા જવામાં પણ લોકો થોડો સંકોચ અનુભવે છે. આ ઉપરાંત ડોમેસ્ટિકમાં નોર્થ ઈસ્ટ ટુરિસ્ટો માટે ફેવરિટ રહેશે. જેમાં હિમાચલ પ્રદેશ, સિક્કિમ, જમ્મુ - કાશ્મીર, દાર્જિલિંગ, લેહ લદ્દાખનો સમાવેશ થાય છે. આ વખતે પણ સમર વેકેશન ટૂર 15 ટકા મોંઘી બનશે. નોર્થ ઈસ્ટ ટુરિસ્ટો માટે ફેવરિટ રાજકોટમાં ક્લિક ટુ ટ્રિપ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલક પિયુષ જીવરાજાનીએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશનમાં લોકો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર પર જશે. ડોમેસ્ટિકમાં આ વખતે નોર્થ ઈસ્ટ ટુરિસ્ટો માટે ફેવરિટ રહેશે. જેમાં હિમાચલ પ્રદેશ, સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, દાર્જિલિંગ, લેહ લદ્દાખ, ભૂતાન અને નેપાળ જવા માટે ટ્રાફિક વધુ જોવા મળશે. 'ઈરાનની આસપાસ આવેલા દેશો છે ત્યાં જવાનું ટુરિસ્ટો ટાળશે'તેને વધુમાં કહ્યું કે, જ્યારે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે ઇન્ટરનેશનલ સેક્ટરમાં અસર પહોંચશે. દુબઈ અને તુર્કી કે જે ઈરાનની આસપાસ આવેલા દેશો છે ત્યાં જવાનું ટુરિસ્ટો ટાળશે. આ ઉપરાંત યુરોપ જવા માટે પણ જે ટુરીસ્ટો ઉત્સુક છે તેઓ પણ એપ્રિલ અને મે મા જવાનું પ્લાનિંગ બનાવી શકે છે. જો યુરોપમાં ફ્લાઇટ શિડ્યુલમાં કોઈ ફેરફાર થાય તો ટુરિસ્ટોને અસર થાય તેમ છે. જોકે વેકેશનમાં ત્યાં જવું સુરક્ષિત છે. 'દુબઈનો ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો છે'પિયુષ જીવરાજાનીએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ પ્લેસમાં ટુરિસ્ટો આ વખતે સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, માલદિવ્સ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ જવાનું પસંદ કરશે. કારણ કે આ દેશો ઈરાનની વિરુદ્ધ દિશામાં છે. જેથી ત્યાં જવું સુરક્ષિત અને આનંદદાયક રહેશે. આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, હાલ દુબઈ જવા માટે ટુરિસ્ટો તૈયાર થઈ રહ્યા નથી ત્યારે તેનો તમામ ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો છે. 'ટૂર પેકેજમાં 10થી 15 ટકાનો વધારો' આ ઉપરાંત તેમણે વેકેશન ટૂરના ભાડામાં વધારા બાબતે જણાવ્યું હતું કે, ફ્યુઅલ અને ડોલરના રેઈટમાં ફેરફારને લીધે ઇન્ટરનેશનલ ટૂર મોંઘી થઈ શકે તેમ છે. ડોલરની સામે રૂપિયો નીચો જતા ખર્ચમાં વધારો થશે. આ ઉપરાંત ફ્યુઅલ રેઈટ વધશે તો ફ્લાઇટના ભાડામાં પણ વધારો થશે. આ વખતે ટૂર પેકેજમાં 10થી 15 ટકાનો વધારો થશે. જેની અસર ટૂરિસ્ટોને થશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

રાજકોટ મનપાની ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે?:વિવાદ અને રોટેશનના કારણે 20થી વધુ સીટીંગ કોર્પોરેટરનું રિપિટ થવું મુશ્કેલ, 18 વોર્ડનું વોર્ડવાઈઝ એનાલિસિસ

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ગમેત્યારે ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. અગાઉ રાજય ચૂંટણી પંચ દ્વારા 18 વોર્ડના રોટેશન જાહેર થયા હતા. જેમાં 72 પૈકી 50 બેઠકો અનામત રહેતા હવે માત્ર 22 બેઠક સામાન્ય ઉમેદવારો માટે રહેશે. નવા રોટેશનના કારણે અનેક મહારથીઓનાં પતા કપાય અથવા તો વોર્ડ બદલી અન્ય વોર્ડમાં ચૂંટણી લડવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. 20 નગરસેવકો જયાંથી ચૂંટણી લડી હતી તેમાં ફેરફાર થયો હોવાથી તેમની ટિકિટ કપાય તેવી શક્યતા છે. જેમાં પૂર્વ મેયરને પતિદેવનું ગેરકાયદે બાંધકામ નડી જાય તેવી શક્યતા છે. જ્યારે નવા રોટેશનને લઈ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કે પૂર્વ દંડકમાંથી એક આઉટ થશે. નવા રોટેશન મુજબ રાજકોટ મનપાનાં સમીકરણો રાજકોટ મનપામાં કુલ 18 વોર્ડની 72 બેઠકો છે. જેમાં નવા રોટેશનને કારણે અમુક કોર્પોરેટરોને પોતાની સીટ માટે અન્ય વોર્ડમાં જવું પડે તેમ છે. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના આગેવાનોએ પોતાના વોર્ડમાં ફેરફાર કરવો પડે તેમ છે. જોકે મહિલાઓની 36 બેઠકો યથાવત રહી છે. પરંતુ 50 બેઠક અનામત થતા સામાન્ય બેઠકો 31થી ઘટીને 22 થઈ છે. ત્યારે રાજકીય પક્ષોએ આ વખતે ટિકિટ ફાળવણી વખતે નવા સિમાંકન અને રોટેશન ધ્યાને લઈને ગોઠવણ કરવી પડશે. જેમાં ભાજપના 68 પૈકી 20થી વધુ જુના નગરસેવકો કપાય તેવી શકયતા છે. નવા રોટેશનની કયા વોર્ડમાં કેવી અસર થશે?વોર્ડ નં.1ભાનુબેન બાબરીયાની સીટ બદલાતા તેની સામે સમસ્યા રહેશે. આમ પણ તેઓ ધારાસભ્ય હોય ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે. અન્ય કોર્પોરેટર હિરેન ખિમાણીયાને નવા રોટેશનનાં કારણે બદલવા પડશે. જ્યારે દુર્ગાબા જાડેજા અને અલ્પેશ મોરજરીયા યથાવત રહે તેવી સંભાવના છે. વોર્ડ નં.2 પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર તેમજ પૂર્વ દંડક મનીષ રાડીયાનો વોર્ડ છે. ઓબીસીની સીટ આવતા હાલના જયમીન ઠાકર અને મનીષ રાડીયા પૈકી કોઈપણ એક આઉટ થશે. દર્શીતાબેન શાહ ધારાસભ્ય હોવાથી ચૂંટણી લડવાનો ઇનકાર કરે તેવું જાણવા મળ્યું છે. તો મીનાબા જાડેજા રિપીટ થવાની શક્યતા છે. વોર્ડ નં.3 પૂર્વ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો છે, જેમાં અનામતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. આ કારણે ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે આ વોર્ડ માટે નવા મહિલા ઉમેદવાર તરીકે હિરલબેન જોશી નામ ચર્ચામાં છે. ત્યારે અલપાબેન દવે અને કુસુમબેન ટેકવાણી પૈકી કોઈ એકની ટિકિટ કપાય તેવી શક્યતા છે. આ બેઠકમાં સિંધી સમાજનું પ્રભુત્વ હોવાથી અલ્પાબેન દવેનું પતું કપાય તેવી શક્યતા છે. વોર્ડ નં.4રાજકોટનાં પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનો વોર્ડ છે. તેમ પણ ગત ચુંટણી જેમ જ આગામી ચૂંટણી માટે રોટેશન રખાયું છે. ત્યારે રોટેશનનાં કારણે ફેરફારની શક્યતા નથી. પરંતુ મેયરના પતિદેવનું ગેરકાયદે બાંધકામ ભારે ચર્ચામાં રહ્યું હોવાથી ડેમેજ કંટ્રોલ કરવામાં તેમના સ્થાને અન્ય કોઈ મહિલા ઉમેદવારને તક મળવાની પણ પુરી શક્યતા છે. વોર્ડ નં.5 વિવાદીત રહેલા વજીબેન ગોલતરને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યા હોવાથી સ્વાભાવિક રીતે તેમના સ્થાને નવા ઉમેદવાર આવશે. જોકે અન્ય ત્રણેય ઉમેદવારો રસીલાબેન સાકરીયા, હાર્દિક ગોહિલ તેમજ દિલીપ લુણાગરિયા યથાવત રહી શકે છે. વોર્ડ નં. 6દેવુબેન જાદવ અગાઉથી સસ્પેન્ડ હોય તેમના સ્થાને નવા ઉમેદવાર આવશે. અન્ય કોર્પોરેટરોમાં ભાવેશ દેથરીયા બીમાર હોય ચુંટણી લડવાની નાં પાડે છે. જોકે આ વોર્ડના અન્ય બે નગરસેવકો પરેશ પીપળીયા અને મંજુબેન કુગાશીયા રિપીટ થાય તેવી શક્યતા છે. વોર્ડ નં.7આદિજાતિ બેઠક આવતા દેવાંગ માંકડ અથવા નેહલ શુકલને સીટ છોડવી પડે તેમ છે. દેવાંગ માંકડની ત્રણ ટર્મ થઈ ગઈ હોય અને પંચનાથ હોસ્પિટલ સહિતના કામોમાં વ્યસ્ત હોવાને કારણે ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે. તો જયશ્રીબેન ચાવડાની બેઠક અનુસૂચિત જાતિની હોય તેમની ટિકિટ કપાય તેવી સંભાવના છે. જ્યારે વર્ષાબેન પાંધી રિપીટ થાય તેમ છે. વોર્ડ નં.8 OBCની સીટ આવતા હાલના અશ્વીન પાંભર અથવા બિપીન બેરા પૈકી એકની ટિકિટ કપાશે. જેમાં પણ અશ્વિન પાંભરની ટિકિટ કપાય તેવી શક્યતા વધુ છે. અન્ય બંને મહિલા ઉમેદવારો પ્રીતિબેન અને ડો. દર્શનાબેન રિપીટ થઈ શકે છે. વોર્ડ નં.9 આશાબેન ઉપાધ્યાયની બેઠક નવા રોટેશન મુજબ SCની બેઠક હોવાથી તેની ટિકિટ કપાશે. જોકે તેમણે પતિ રાજીવ ઉપાધ્યાયને ટિકિટ આપવા ભલામણ કરી હોવાનું જાણવા મળ્યું છે. તો પુષ્કર પટેલ ત્રણ ટર્મથી કોર્પોરેટર હોય તેમના સ્થાને વિક્રમ પૂજારાનું નામ બોલાય છે. આ સાથે જ જીતુભાઈ કાટોળીયાની ટિકિટ પણ કપાય તેવી શક્યતા છે. વોર્ડ નં.10નવા રોટેશનનાં કારણે સામાન્ય કેટેગરીના ચેતનભાઈ સુરેજા અને નરેન્દ્રસિંહ વાઘેલા પૈકીનાં એક કપાશે. જેમાં નરેન્દ્રસિંહ કપાય તેવી ચર્ચા છે. જ્યારે અન્ય નગરસેવકો રાજેશ્રીબેન ડોડીયા અને જ્યોત્સના ટીલાળા રિપીટ થાય તેવી શક્યતા છે. વોર્ડ નં.11 પૂર્વ શાસક પક્ષનાં નેતા લીલુબેન જાદવનો વોર્ડ છે. સામાન્ય ઉમેદવાર આવતા અહીં એક ટિકિટમાં ફેરફાર કરવો પડશે. જેમાં લીલુબેન જાદવને બદલે અન્ય સામાન્ય મહિલા ઉમેદવારને ટિકિટ મળશે. આ સિવાય ભારતીબેન પાડલીયા, રણજીત સાગઠિયા અને વિનોદ સોરઠીયા યથાવત રહે તેવી શક્યતા છે. વોર્ડ નં.12નવા રોટેશન મુજબ કોઈ ફેરફાર ન હોવાથી માત્ર મહિલા ઉમેદવારમાં ફેરફાર કરવો પડશે. જ્યારે પ્રદીપ ડવ અને મગનભાઈ સોરઠીયા યથાવત રહે તેવી શક્યતા છે. વોર્ડ નં.13નવા રોટેશન મુજબ કોઈ ફેરફાર નથી. જોકે અહીં નીતિન રામાણીને બદલે જયાબેન ડાંગરનાં પુત્ર શૈલેષ ડાંગરનું નામ ચર્ચામાં છે. વોર્ડ નં.14નિલેશ જલુની બેઠક OBCની હતી તે સામાન્ય થતા ફેરફાર આવશે. જ્યારે વર્ષાબેન રાણપરાએ પુત્રવધુ ભારતીબેન મકવાણા માટે ટિકિટ માંગી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ વોર્ડ માટે એક નવું નામ નિશાબેન રાણપરા (સોની) પણ ચર્ચામાં છે. વોર્ડ નં.15 એકમાત્ર એવો વોર્ડ છે જ્યાં કોંગ્રેસનું ખાસ પ્રભુત્વ છે. ગત ટર્મમાં અહીં ચારેય કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા. અને આગામી ટર્મમાં પણ ચારેયને કોંગ્રેસ ટિકિટ આપે તેવી પૂરતી શક્યતા છે. ત્યારે આ વોર્ડ માટે ભાજપે 2 મહિલા સહિત 4 નવા મજબૂત ઉમેદવારોની શોધ કરવી પડશે. જે કોંગ્રેસનાં ચારેય ઉમેદવારોને ટક્કર આપી શકે. વોર્ડ નં.16 કંચનબેન સિદ્ધપુરા અને રૂચિતાબેન જોશી પૈકી કોઈ એકને વાંધો આવશે. જ્યારે સામાન્ય ઉમેદવાર પૈકી નરેન્દ્ર ડવની ટિકિટ કપાય અને સુરેશભાઈ વસોયા યથાવત રહે તેવી શક્યતા છે. વોર્ડ નં.17 અનિતા ગોસ્વામીનાં બદલે પતિ ગૌતમ ગોસ્વામીને ટિકિટ અપાય તેવી ચર્ચા છે, જ્યારે અન્ય નગરસેવક વીનું ધવા કપાય એવી પુરી શકયતા છે. તેનાં ઉપરાંત તેમના ભાઈ-ભાભી પણ અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા હોવાથી તેમનું પતું કપાય તેમ છે. તો રવજીભાઈ મકવાણા અને કીર્તિબા રાણા રિપીટ થવાની શક્યતા છે. જો ગૌતમ ગોસ્વામીને ટિકિટ અપાય તો નવા મહિલા ઉમેદવાર પણ આવી શકે છે. વોર્ડ નં.18અનુસુચિત જાતિની બેઠક આવતા સંજયસિંહ રાણા કે સંદિપ ગાજીપરા પૈકી કોઈ એકની ટિકિટ કપાશે. જ્યારે ભારતીબેન પરસાણા અને દક્ષાબેન વાઘેલા રિપીટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, નવા રોટેશન મુજબ 27 ટકા અનામત લાગુ કરી દેવાતા ઓ.બી.સી.ની ટિકિટોમાં વધારો થયો છે. અને સમાન્ય જ્ઞાતિઓની ટિકિટો ઘટી છે. ત્યારે હિરેન ખિમાણીયા જેવા ઉમેદવારો પોતાના વોર્ડ બહાર અન્ય બેઠક ઉપર દાવો કરે તો તેમની સામે વિરોધનો સૂર પણ ઉઠી શકે છે. ગત ચૂંટણીમાં ખિમાણીયાને વોર્ડ નં. 1માં ટિકિટ અપાઈ ત્યારે પણ વિરોધ થયો હતો. ત્યારે આ વખતે જો ત્યાં સામાન્ય બેઠક ઉપર તે દાવો કરે તો તેનો વિરોધ થઈ શકે છે. તેમજ સામાન્ય વર્ગની બેઠકોમાં ઘટાડો થયો છે ત્યારે અનામત કેટેગરીની બેઠકમાં લડી શકે તેવા ઉમેદવારો જો સામાન્ય બેઠક ઉપર દાવો કરે તો ટેન્શન ઉભુ થઈ શકે તેમ છે. ગત ચૂંટણીમાં આવા ઉમેદવારો હતા પણ ત્યારે સામાન્ય બેઠકોની સંખ્યા 31 હતી. આ વખતે 22 બેઠક બાકી રહી છે. ત્યારે સામાન્ય બેઠકો માત્ર સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે જ રહે તે જરૂરી બન્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

માયાભાઈએ મૌનની તાકાત બતાવી:જગદીશ પંચાલે રાજકોટના નેતાઓને શું ટાસ્ક આપ્યો?; ‘સાહેબ વારો પાડશે!’, સચિવાલયમાં અધિકારીઓમાં ગણગણાટ

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

રીલ લાઇફમાંથી રિયલ લાઇફમાં 'ફર્ઝી':3 વાર વેબ સિરીઝ જોઇ નકલી નોટનો ગજબનો ખેલ પાડ્યો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી તો લોકોનું ટોળું ભેગું થઇ ગયું

પૈસો સે ખુશીયા નહીં ખરીદ સકતે.....યે ડાયલોગ સિર્ફ વો લોગ મારતે હૈ, જીન કે પાસ પૈસે હોતે હી નહીં.... વેબ સિરીઝ ફર્ઝીમાં એક્ટર શાહીદ કપૂરના મોંઢે બોલાયેલો આ ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો છે. આમ તો એવું કહેવાય છે કે ફિલ્મો અને વેબ સિરીઝ સમાજ જીવનનું પ્રતિબિંબ હોય છે, લોકો તેમાંથી જોઇને ઘણું શીખતા હોય છે. જો કે આપણી આસપાસમાં જ કેટલાક એવા લોકોય હોય છે જે તેમાંથી સારી બાબત શીખવાને બદલે ગોરખધંધા શીખે છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાંથી 2.20 કરોડની નકલી ચલણી નોટ સાથે ઝડપાયેલા પ્રદીપ ગુરૂ અને તેના સાગરિતોના કિસ્સામાં પણ આવું જ થયું છે. આ બનાવટી ચલણી નોટો છાપવાના માસ્ટર માઇન્ડ ગણાતાં મુકેશ ઠુમ્મરને શાહીદ કપૂરની ફિલ્મ ફર્ઝી જોઇને નકલી નોટ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ ફિલ્મ તેણે 1-2 વાર નહીં પણ 3 વખત જોઇ હતી. તેણે પોલીસને જણાવ્યું કે આ ફિલ્મ બનાવટી નોટ પર આધારિત છે. પ્રદીપના અંગત ખર્ચ માટે પૈસા વપરાવાના હતાપૂછપરછમાં આરોપીઓએ જણાવ્યા મુજબ તેઓ પ્રદીપના ફાઉન્ડેશનના એકાઉન્ટમાં રકમ જમા કરાવવાના હતા પરંતુ આ બાબતે કોઇ સજ્જડ પુરાવો હાથ લાગ્યો નથી. આ રકમ સંસ્થાના એકાઉન્ટમાં નહીં પણ પ્રદીપ ગુરુના અંગત ખર્ચમાં વાપરવાની હોવાની હકીકત પોલીસને જાણવા મળી છે. એટલું જ નહીં પરંતુ પ્રદીપ પોતાને USA જવામાં સરળતા રહે તે માટે અન્ય દેશના પ્રવાસે ગયો હતો. હકીકતમાં પ્રિન્ટર મશીન ખરીદવા માટે પ્રદિપ ગુરુ ચીનમાં એજન્ટને મળવા ગયો હતો. 70 લાખમાં નકલી નોટ વેચવાના હતાઆરોપીઓ 2.20 કરોડથી વધુની નકલી નોટો 70 લાખ રૂપિયામાં વેચી દેવાની પેરવીમાં હતા. આરોપીઓએ આ અગાઉ ચલણી નોટો બજારમાં ફરતી મૂકી છે કે નહીં તે દિશામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આરોપીઓએ અગાઉ 5 લાખની નકલી નોટ બજારમાં ફરતી મૂકી હતી. જો કે આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલા કાગળ તથા નકલી નોટોની સરખામણીનો તાળો બેસતો હોવાથી પોલીસ માથું ખંજવાળી રહી છે. શું બાતમી મળી હતી?કોન્સ્ટેબલ કૌશિકકુમાર કાંતિભાઇને બાતમી મળી હતી કે કેટલાક લોકો ભારતીય ચલણની બનાવટી નોટો લઇ સુરતથી આવી અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં કોઇની સાથે ડિલ કરવાના છે અથવા તો આ નોટો સગેવગે કરવા માટે ફરી રહ્યાં છે. પોલીસની જુદી-જુદી ટીમ અમરાઇવાડી પહોંચીઆ બાતમી મળ્યા બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ સરકારી વાહન તેમજ ખાનગી વાહનમાં 18 માર્ચ, 2026ના રોજ બપોરે 2 વાગ્યે શહેર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા નીકળી હતી. પેટ્રોલિંગ ચાલુ હતું તે દરમિયાન બાતમીવાળી ફોર્ચ્યુનર કાર અમરાઇવાડી ટોરેન્ટ પાવર સામેના ભાગમાં મેટ્રો પિલ્લર નં. 29-30ની વચ્ચે દેખાઇ હતી. જેથી પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. જેમાં 5 પુરુષ અને 1 મહિલા હતી. તેમની પાસે બે બેગોમાં 500ના દરની નકલી નોટો મળી હતી. રસ્તા પર લોકોનું ટોળું ભેગું થઇ ગયુંરસ્તા પર પોલીસ ફોર્ચ્યુનર કારને અટકાવીને તપાસ કરતી હતી એ સમયે કુતૂહલવશ રાહદારીઓ અને વાહનચાલકો ભેગાં થઇ ગયા હતા. જેથી પોલીસનો કાફલો આરોપીઓ અને તેમની કારને લઇ ત્યાંથી નીકળીને અમરાઇવાડી ન્યૂ કોટન મિલ ચોકી ખાતે પહોંચ્યો હતો પરંતુ ચોકીના દરવાજે તાળું હતું. નાગરવેલ પોલીસ ચોકી પહોંચ્યાપોલીસને નકલી નોટોની ગણતરી કરવાની હતી એટલે આખો કાફલો નાગરવેલ પોલીસ ચોકી પહોંચ્યો હતો. જ્યાં પ્રાથમિક ચકાસણી કરતાં કાળા રંગની બેગપેક તથા સફેદ રંગના મીણિયાના થેલામાં 500ના દરની નકલી નોટોના બંડલોની 24 રીમો હતી. એક રીમમાં કુલ 10 બંડલ હતા. એક બેગપેકમાં કુલ 240 બંડલ હતા. એક આરોપી રફૂચક્કર થઇ ગયો હતોએક આરોપી ભરત કાકડિયા લઘુશંકા કરવા ગયો હતો. દરમિયાનમાં પોલીસે છાપો મારીને બીજા આરોપીઓને ઝડપી લીધા હતા. આ સમયે ભરત પોલીસને જોઇ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો અને ફરતો ફરતો સીટીએમ ચાર રસ્તા બાજુ ગયો હતો. જો કે પોલીસને આરોપીઓની પૂછપરછમાં ભરત અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેને શોધવા નીકળ્યો હતો અને તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. કેમ આ કારસ્તાન કર્યું?પોલીસે આરોપીઓની ફેરવી-ફેરવીને પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે આ આરોપીઓ પૈકીનો પ્રદીપ જોટંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુ સુરતના કામરેજ-કીમ વચ્ચે આવેલા ટોલનાકા પાસે ધોરણ પારડી ગામે સત્યમ યોગ ફાઉન્ડેશનના નામથી NGO ચલાવે છે. જેમાં યોગ દ્રારા લોકોના અસાધ્ય રોગો દૂર થાય તે માટે કામ કરાય છે. આશ્રમમાં રોગ મટાડવા માટે આવતાં દર્દીઓ માટે રહેવાની કોઇ સગવડ નહોતી. તેમ જ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવતી આ કામગીરીમાં ભંડોળ ઓછું પડતું હતું. કડકાઇ દૂર કરવા નોટો છાપવાનું નક્કી કર્યુંફાઉન્ડેશનની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે આરોપી ભરત વાલજીભાઇ કાકડિયા તથા અન્ય આરોપીઓએ ત્રણેક મહિના પહેલા સાથે મળીને નકલી નોટો છાપવાનું નક્કી કર્યું હતું. મશીનરી ખરીદવા પ્રદીપ ગુરુ ચીન પહોંચ્યોબનાવટી ચલણી નોટો છાપવા માટે કલર પ્રિન્ટર મશીન, કટર મશીન, કાગળો ખરીદવા પડે તેમ હતા. જેના માટે તમામ આરોપીઓએ ભેગાં મળીને ભંડોળ ભેગું કર્યું. આ ભંડોળમાંથી RBI તથા ભારત લખેલા ગ્રીન કલરના સિક્યોરિટી થ્રેડ પેપર માટે વેબસાઇટ પર ચાઇનીઝ એજન્ટનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ અલી પે નામના પેમેન્ટ ગેટ વે મારફતે નાણાં મોકલી આ સિક્યોરિટી થ્રેડ પેપર મંગાવ્યા હતા. સાથે સાથે પોલીસને જાણવા મળ્યું હતું કે મશીનરી ખરીદવા માટે ચીન ગયેલા પ્રદીપ ગુરૂએ એજન્ટ સાથે બેઠક કરીને જુદા-જુદા 8 પાર્સલો એર કાર્ગો મારફતે ગુજરાત મંગાવ્યા હતા. જેથી આરોપીઓએ 8થી વધુ પાર્સલો મંગાવ્યા હતા કે નહીં તેની તપાસ કરવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ સત્તાવાળાઓ પાસે વિગતો માગવાની છે. મશીનો સહિતનું મટિરિયલ મુકેશ ઠુમ્મરને ત્યાં મૂકવાનું નક્કી કર્યુંચીનથી આવેલાં મશીન સહિતનું મટિરિયલ આરોપી મુકેશ ઠુમ્મરના સુરત સ્થિત ઘરે મૂકવામાં આવ્યું હતું અને ત્યાં જ નોટો છાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુકેશ પોતે ફોટોશોપ એડિટિંગનું કામ જાણતો હોવાથી તમામ આરોપીઓએ 3 મહિના સુધી આ કામગીરી કરીને 500ના દરની નકલી નોટો છાપી હતી. પોલીસ ગણતરી કરતાં થાકી ગઇઆટલાં મોટાં જથ્થામાં બનાવટી ચલણી ઝડપાઇ હતી. તેને સિરિયલ અને સિરીઝ પ્રમાણે વર્ણન કરી ગણતરી કરવામાં આવે તો ખૂબ જ સમય જાય. પોલીસ આ પ્રક્રિયામાં ઘણાં લાંબા સમયથી વ્યસ્ત હોવાથી થાકી ગઇ હતી. છેવટે મશીનથી નોટો ગણવામાં આવી હતી બાદમાં તમામ નોટોને પ્લાસ્ટિકના પારદર્શક ડબ્બામાં મૂકીને સીલ કરાઇ હતી. PSI ફરિયાદી બન્યાંઆ અંગે સબ ઇન્સ્પેક્ટર ડી.એમ.સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા નાયબ પોલીસ કમિશનર અજિત રાજિયનના માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.જાડેજાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યાં હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો સુરતમાં બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

1500 વર્ષ જૂની કરોડો રૂપિયાની મૂર્તિ પર કોની નજર હતી?:મધરાતે લૂંટારૂં ત્રાટક્યા અને વજનદાર પ્રતિમા ઉઠાવી ગયા, આખા ગામમાં હાહાકાર મચી ગયો

રાતનો દોઢ વાગ્યો હતો. ફેબ્રુઆરીની ગુલાબી ઠંડીમાં આખું વીસનગર ઘોર નિંદ્રામાં હતું પણ ઉમતા ગામના દિગંબર જૈન દેરાસરમાં કંઇક અશુભ બનવાનું હતું. અચાનક અંધારામાંથી 7થી 8 લૂંટારૂં ત્રાટક્યા અને ચોકીદારો પર હુમલો કર્યો. લૂંટારુઓનો ઇરાદો સોનું કે રોકડની લૂંટ કરવાનો નહોતો પણ જમીનમાંથી ખોદકામ દરમિયાન મળેલી 1500 વર્ષ જૂની અને 90 કિલો વજનની સફેદ આરસની ચક્રેશ્વરી માતાની કરોડો રૂપિયાની મૂર્તિ ઉઠાવી જવાનો હતો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ બાદ SITની તપાસ શરૂ થઇ પણ પોલીસ પાસે એવી કોઇ મહત્વની કડી નહોતી કે જેથી લૂંટારૂંઓ પકડાઇ શકે. લૂંટારૂંઓ એટલા ચાલાક હતા કે તેમણે આખી ઘટના દરમિયાન મોબાઇલ બંધ રાખ્યો હતો જેથી પકડાઇ ન જવાય પણ કહેવત છે ને કે પાપનો ઘડો ક્યારેક તો ભરાય જ છે. આ કેસમાં પણ આવું જ થયું. ફક્ત 2 સેકન્ડ માટે કંઇક એવું બન્યું કે પોલીસ લૂંટારૂઓ સુધી પહોંચી ગઇ. ગુજરાત પોલીસ અને રાજસ્થાનની ગેંગ વચ્ચે ફિલ્મી ઢબે થયેલા પકડદાવ, ખાડામાં પડેલી પોલીસની ગાડી અને જીવના જોખમે પાર પડેલા આ ઓપરેશનની વાત વાંચો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં. મહેસાણા જિલ્લાના વીસનગરથી આઠેક કિલોમીટર દૂર ખેરાલુ રોડ પર ઉમતા ગામ આવેલું છે. ગામના રાજગઢી ટેકરા પર વર્ષ 2001માં ખોદકામ થઇ રહ્યું હતું. જમીનથી ઊંડે સુધી થઇ રહેલા ખોદકામ દરમિયાન અચાનક કોઇ વસ્તુ સાથે અથડાવાનો અવાજ આવ્યો. ખોદકામ કરી રહેલા શ્રમિકો, તેના સુપરવાઇઝર અને ત્યાં હાજર રહેલા બીજા બધા લોકો નવાઇ પામ્યા. તરત જ માટી ઉલેચીને જોયું તો એક મૂર્તિ મળી. જેના પછી ત્યાં વધુ ખોદકામ કરાયું તો એક પછી એક પ્રાચીન મૂર્તિઓ નીકળવા લાગી. જેમ-જેમ ખોદકામ આગળ વધતું હતું તેમ તેમ મૂર્તિઓ નીકળતી હતી. જોતજોતામાં આ મૂર્તિઓની સંખ્યા 74 પર પહોંચી ગઇ. આ બધી મૂર્તિઓ જૈન ધર્મની હતી એટલે એવો નિર્ણય લેવાયો કે તે જૈન સમાજના લોકોને આપી દેવી. આમાંથી 16 મૂર્તિઓ શ્વેતાંબર જૈન સમાજને અપાઇ જ્યારે બાકીની 58 મૂર્તિઓ દિગંબર જૈન સમાજને સોંપાઇ. દિગંબર જૈન સમાજે વીસનગર-ખેરાલુ રોડ પર આદિનાથ દિગંબર જૈન દેરાસર બનાવી 6 જૂન, 2011ના દિવસે આ મૂર્તિઓની સ્થાપના કરી હતી. આ મૂર્તિમાં એક અનોખી મૂર્તિ હતી. જેનું નામ હતું ચક્રેશ્વરી માતાની મૂર્તિ. અંદાજે 1500 વર્ષ જૂની દોઢથી બે ફૂટની આ મૂર્તિ ઐતિહાસિક તો હતી જ સાથોસાથ તેની કિંમત પણ કરોડો રૂપિયાની હોવાનું મનાતું હતું. દેરાસરમાં કિંમતી મૂર્તિઓ હોવાથી તેની સુરક્ષાનો પણ પ્રશ્ન હતો એટલે રખેવાળી કરવા માટે એક નહીં પણ 2-2 ચોકીદાર રાખવાનું નક્કી કરાયું હતું. જેના ભાગરૂપે દિલીપસિંહ રણજીતસિંહ વાઘેલા અને જતાજી પાધાજી ઠાકોર નામના 2 ચોકીદારની નિમણુક કરાઇ હતી. બન્ને ચોકીદાર દરરોજ રાતે ચોકી પહેરો કરવા માટે દેરાસર જતા હતા. તારીખ: 19 ફેબ્રુઆરી, 2012સમયઃ રાત્રે 1થી 1:30 વાગ્યે આ રાત્રે પણ દિલીપસિંહ અને જતાજી નિત્યક્રમ પ્રમાણે સમયસર દેરાસર નોકરી કરવા માટે પહોંચી ગયા હતા. શિયાળાની વિદાયના દિવસો ગણાઇ રહ્યાં હતા પણ હજુ થોડી-થોડી ઠંડી હતી. રાત જામી ચૂકી હતી. આવામાં બન્ને ચોકીદાર દેરાસરના પ્રાંગણમાં ખાટલામાં સૂતાં હતા. અચાનક ક્યાંકથી 7થી 8 જણાં ત્રાટક્યાં. ખાટલામાં સૂતેલાં ચોકીદારોએ ઓઢેલા ગોદડાંથી જ તેમને દબાવી દીધા અને તેમના પર તૂટી પડ્યાં. ગડદાપાટુ અને લાકડાંના ધોકાથી માર મારવા લાગ્યા. એક ચોકીદારને જમણી આંખ નીચે, બન્ને પગ પર અને બરડામાં ડાબા પડખા ઉપર ફટકાર્યો હતો. જ્યારે બીજાને ડાબી આંખ નીચે, પેટ ઉપર, ડાબા પગના થાપા ઉપર અને દાંત ઉપર માર માર્યો હતો. અચાનક થયેલા હુમલાથી બન્ને ચોકીદાર હતપ્રભ થઇ ગયા. વળી પોતે 2 જ જણા હતા જ્યારે સામે 7થી 8 લૂંટારૂં ટોળું હતું એટલે પ્રતિકાર કરવાનો કોઇ પ્રશ્ન જ નહોતો રહેતો અને એવી કોઇ ક્ષમતા પણ નહોતી. તેમણે ચીસો પાડતાં-પાડતાં લૂંટારૂઓનો માર સહન કર્યો. બન્નેને માર માર્યા બાદ લૂંટારૂંઓએ પોતાની પાસે રહેલા લાંબા રૂમાલથી બન્ને ચોકીદારના હાથ-પગ અને મોઢું બાંધી દીધા હતા અને તેમને એક રૂમમાં પૂરી દીધા હતા. જેના પછી ચક્રેશ્વરી માતાજીના મંદિરના બંધ દરવાજાનો નકૂચો આરીથી તોડ્યો હતો અને તેમાં ઘૂસીમાં માતાજીની સફેદ આરસની અમૂલ્ય પ્રાચીન મૂર્તિની લૂંટ કરી હતી. આ મૂર્તિનું વજન અંદાજે 90 કિલો હતું. કોઇ એકલ દોકલ લૂંટારૂં તેને ઊંચકી શકે તેમ નહોતો એટલે બધાએ ભેગા મળીને મૂર્તિ ઊંચકી અને દેરાસરના પ્રાંગણમાંથી બહાર લઇ ગયા.લૂંટારા જ્યારે ભાગ્યા ત્યારે ચોકીદારનો મોબાઇલ પણ સાથે લઇને ભાગ્યા હતા. જેથી તેઓ કોઇને જાણ પણ ન કરી શકે. સ્વભાવિક છે કે આટલી વજનદાર મૂર્તિ લઇ જવા માટે લૂંટારૂંઓ કોઇ ભારે વાહન લઇને જ આવ્યા હશે. લૂંટારૂં તો ભાગી ગયા પણ અહીં મારથી કણસતા બન્ને ચોકીદાર નિઃસહાય હાલતમાં હતા. આસપાસથી કોઇ મદદ મળે તેમ નહોતી. છૂટવાની ઘણી કોશિષ કરી પણ તે તમામ નિષ્ફળ રહી એટલે હવે રાત કાઢવા સિવાય તેમની પાસે કોઇ છૂટકો નહોતો. વહેલી સવારની કિરણ બન્ને ચોકીદાર માટે આશાની કિરણ બનીને આવી. દેરાસરના સાધ્વી શકુંતલાબેન ત્યાં આવ્યા અને બન્નેની હાલત જોઇ તેમને કંઇક અજુગતું થયાની શંકા જાગી. તેમણે તરત જ બન્ને ચોકીદારને છોડ્યા અને આખી ઘટના વિશે માહિતી મેળવી હતી બાદમાં બન્નેને 108 મારફતે વીસનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. જૈન દેરાસરમાંથી અતિ પ્રાચીન અને કિંમતી મૂર્તિની લૂંટ થવાની ઘટનાએ આખા વીસનગર પંથકમાં ભારે ચકચાર મચાવી હતી. આખા તાલુકામાં આ પ્રકારની પહેલી ઘટના હતી. દેરાસરના મુનિ નિર્ભયસાગરજીએ પોલીસને જાણ કરી હતી. જેથી તત્કાલીન જિલ્લા પોલીસવડા આર.એસ.સવાણી, DySP જે.કે.રાઠોડ, PI એસ.વી.સગર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લૂંટ અંગે વીસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે તપાસ તો શરૂ કરી તો ખૂલ્યું કે લૂંટારૂંઓ ફક્ત માતાજીની મૂર્તિની જ લૂંટ કરી ગયા છે. અન્ય આભૂષણો કે રોકડને હાથ પણ નથી લગાવ્યો. જો કે તે સમયે આજના સમય જેટલા CCTV નહીં હોવાથી પોલીસને કંઇ મહત્વની કડી મળી નહોતી. આ તરફ માતાજીની મૂર્તિ ચોરાઇ જતાં આદિનાથ દિગંબર જૈન દેરાસરના આચાર્ય મુનિ નિર્ભયસાગરજીએ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. જૈન મુનિએ ઉપવાસ પર ઉતરતા હાહાકાર મચી ગયો હતો અને સરકાર પણ એક્શનમાં આવી હતી. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે આ ઘટનાની તપાસ માટે ખાસ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે તત્કાલીન પોલીસવડા ચિત્તરંજનસિંઘે 2 IG સહિતની ટીમની રચના કરી હતી. જેમાં તે વખતે CID ક્રાઇમના IG બી.એસ.ઝેબલિયા અને મહેસાણા રેન્જ IG એ.કે.શર્મા તથા DSP આર.એસ.સવાણી તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI જે.ડી.પુરોહિતનો સમાવેશ કરાયો હતો. શરૂઆતમાં તત્કાલીન PI જે.ડી.પુરોહિતે તપાસનો દોર સંભાળ્યો હતો. તેમણે દેરાસરમાં ચોકીદાર તરીકે નોકરી કરતાં બન્ને ચોકીદારોની પૂછપરછ કરી હતી. પોલીસને ફક્ત એટલી ખબર પડી હતી કે જ્યારે લૂંટારૂંઓ બન્ને ચોકીદારને માર મારતા હતા ત્યારે હિન્દી ભાષામાં વાતો કરતા હતા. આના પરથી પોલીસને લાગ્યું કે નક્કી આ ગેંગ ગુજરાત બહારની હોવી જોઇએ. વળી ફક્ત મૂર્તિની જ લૂંટ કરી હોવાથી પોલીસને એ પણ આશંકા હતી કે આમાં એન્ટિક વસ્તુઓ લૂંટી લેતી મોટી ગેંગની સંડોવણી હશે. પોલીસે અનુમાન કર્યું કે ગુજરાત નજીક એક માત્ર રાજસ્થાન પડે બાકી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા બીજા રાજ્યો દૂર હોવાથી લૂંટારૂં ગેંગ ત્યાંની હોવાની શક્યતા ઓછી હતી. એટલે પોલીસે રાજસ્થાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું પરંતુ તેના આધારે પણ લૂંટારૂંને શોધવા પડકારજનક હતા. જો કે પોલીસે હાર માન્યા વગર આટલી વિગતોને ધ્યાનમાં લઇને જૂની પદ્ધતિ પ્રમાણે તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ ડેટાના આધારે આગળ વધવાનું નક્કી કર્યું. PI પુરોહિતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સેલના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ દિલીપ ઠાકોરની મદદ લીધી હતી. તેમણે મોબાઇલ કંપનીઓ પાસેથી દેરાસરની આસપાસના 100 કિલોમીટરની ત્રિજ્યામાં એટલે કે દાંતા, અંબાજી અને રાજસ્થાનની બોર્ડર સુધીના ટાવરના ડેટા મેળવ્યા હતા. બીજીબાજુ બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. જો કે એકથી દોઢ મહિના સુધી પોલીસના હાથ ખાલી જ રહ્યા હતા. અંતે દોઢ મહિના બાદ એવું તો શું બન્યું કે પોલીસને સફળતા મળી.... આ સવાલનો જવાબ જાણવા જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

ભારતીય સિંધુ સભા સ્થાપના-સમર્પણ દિવસની ઉજવણી:સિંધુ દર્શનયાત્રા,ભાષાના વર્ગો અને સંસ્કૃતિના અભિયાનની ચર્ચા કરાઇ

ભારતીય સિંધુ સભા સ્થાપના અને સમર્પણ દિવસ નિમિત્તે રામનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ કાર્યક્રમમાં, ૨૯ માર્ચ, ૧૯૭૯ ના રોજ સ્થાપિત ભારતીય સિંધુ સભાના સ્થાપના દિવસની ઉજવણી સભ્યો દ્વારા સમર્પણ સમારોહ સાથે કરવામાં આવી હતી. સભાના પ્રમુખ ભગવાનદાસજીએ જણાવ્યું હતું કે બંધારણમાં સિંધી ભાષાને માન્યતા મળતા ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. આ ઉપરાંત, ભારતીય સિંધુ સભાના ઝાંખીમાં, ચેટીચાંદના અવસરે, કુલદેવી માતા હિંગળાજ જી ને પ્રથમ સ્થાન મળ્યું હતું અને સિંધુ દર્શન યાત્રા અને ભાષાના વિકાસ માટે ચલાવવામાં આવતા વર્ગો અને સભ્યપદ અભિયાન વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:59 am

લેઉઆ પટેલ સમસ્ત ગેવરીયા પરિવારનું સ્નેહમિલન યોજાયું:વ્યસન મુકિત-ફોનની લત છોડવા યુવાઓએ સંક્લ્પ લીધો,કુરિવાજો નાબૂદ કરવા માટે સમાજે નિર્ણય લીધો

સુરતમાં વસતા સૌરાષ્ટ્રના વિવિધ ગામોના લેઉઆ પટેલ સમસ્ત ગેવરીયા પરિવારનું સ્નેહમિલન મોટા વરાછા ખાતે યોજાયું હતું. ગેવરીયા પરિવાર સંગઠનની વિશેષતા એ છે કે પરિવારના દરેક સભ્યોને સરખી જવાબદારી ગણવામાં આવે છે કોઈ પ્રમુખ કે હોદ્દેદારો નિમવામાં આવ્યા નથી. વડીલોના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે. પરિવારના આગેવાનોએ નવી વ્યસન અને અંધશ્રદ્ધા તેમજ કુરિવાજોથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું હતું. કેટલાક યુવાનોએ વ્યસન છોડી દેવા સંકલ્પ કર્યો હતો તો અચાનક જેટલા યુવાનોએ આગળના કાર્યક્રમમાં વ્યસન મુક્તિનો સંકલ્પ કરી વ્યસન મુક્ત થયા છે તેઓને સન્માનિત કરાયા હતા. વડીલો એ પણ જણાવ્યું હતું કે યુવાનો માટે વ્યસન છે દુશ્મન છે કેવી રીતે મોબાઈલ પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે પણ નુકસાનકારક છે. મોબાઈલ નો ઉપયોગ ટેકનોલોજી અભ્યાસ અને રિચર્સ માટે ખૂબ જરૂરી છે. પરંતુ બિનજરૂરી બાબતો માટે સમય વેડફો તો તે વિકાસને રૂંધે છે. માત્ર બાળકો જ નહીં યુવાનો, વડીલો, મહિલાઓએ પણઆ બાબત ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. જુના સમયના કુરિવાજો તો દૂર થઈ ગયા છે પરંતુ નવા સમયના કેટલાક રિવાજો અને દેખાદેખીમાં થતા પ્રસંગો પણ સામાજિક રીતે અને આર્થિક રીતે મુશ્કેલી ઊભી કરે છે તેનાથી પણ દૂર રહેવું જોઈએ. હંમેશા સાત્વિક વિચારો રાખવા જોઇએ. પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:58 am

આજે મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ દિવસ:ગોપીપુરાના 422 વર્ષ જૂના જિનાલયમાં વિમાન આકારના પુષ્પ દીવડા આકર્ષણ બનશે, 1 લાખ લાડુનું લોકોને વિતરણ કરાશે

જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસની ઉજવણી નિમિત્તે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવા મહાસંઘ દ્વારા શહેરના જુદા જુદા 3 સ્થળ પર લાડુ વિતરણ કરવામાં આવશે. સંખ્યાબંધ કાર્યકર્તાઓ દ્વારા સવારે 9:30 કલાકે સ્ટાર બજાર અડાજણ પાલ રોડ સવારે 10:00 કલાકે સરગમ શોપિંગ સેન્ટર પાર્લે પોઇન્ટ અને સ્ટેશન ખાતે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિને લાડુનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવશે. સંસ્થાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરવ શાહે જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામી એ માત્ર જૈન ધર્મ જ નહીં પરંતુ સમગ્ર માનવ સમુદાય અને જીવ સૃષ્ટિ પર વિચારતા તમામ ઉપર કરુણા વરસાવી છે. તેમણે આપેલા વિચારોને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આત્મસાત કરે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ક્યારેય ઊભી થાય નહીં. જ્વેલરીની આંગી તૈયાર કરાશેગોપીપુરા ખપાટિયા ચકલા ખાતે ભગવાન મહાવીર સ્વામીના 422 જુના પ્રાચીન જિનાલયમાં પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં સવારે સાત વાગ્યે અભિષેક પ્રક્ષાલ, સાંજે છ વાગ્યે વિમાનની જેવી સજાવટવાળા પુષ્પ દીવડા અને જ્વેલરીની નયન રમ્ય આંગી તૈયાર કરવામાં આવશે. શહેરના મોટી સંખ્યામાં જૈન પરિવારો દર્શન માટે તેમજ ઉત્સવનો લાભ લેવા એકત્ર થશે. તેરાપંથ જૈન સમાજ દ્વારા 2625મો જન્મ કલ્યાણક ઉજવાશેજૈન પરંપરાના 24 તીર્થંકરોમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર અહિંસાના મહાન સાધક હતા. અર્જુનભાઈ મેડતવાલે જણાવ્યું હતું કે વર્તમાન સમયની તમામ સમસ્યાઓનું સમાધાન આ સિદ્ધાંતો દ્વારા થઈ શકે છે. આજે સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીરનો 2625મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તેરાપંથ જૈન સમાજ દ્વારા પણ વિવિધ સ્થળોએ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના કાર્યક્રમો યોજાશે. ઓલપાડમાં 130 વર્ષથી બિરાજમાન દરિયા માર્ગે સ્વયંભૂ શાંતિનાથ દાદા ઓલપાડ ટાઉનનું કરસનપુરા વિસ્તારમાં બિરાજમાન શાંતિનાથ ભગવાનની શ્વેત વર્ણની પ્રતિમા માત્ર આસ્થાનું પ્રતિક નથી પરંતુ તેના આગમનની કથા પણ અત્યંત ચમત્કારિક છે. 130 વર્ષ જૂની આ ધરોહર જૈન ધર્મના પાંચ મુખ્ય પૂજનીય તીર્થંકરોમાંના એક એવા શાંતિનાથ ભગવાનને સમર્પિત છે. ઇતિહાસ મુજબ, સવા સદી પૂર્વે ઓલપાડના મોર ભગવા ગામના દરિયાકિનારે માછીમારોને (ખારવા જ્ઞાતિના ભાઈઓને) દરિયાના મોજાં સાથે તણાઈ આવેલી એક રહસ્યમય લાકડાની બંધ પેટી મળી હતી. કુતૂહલવશ પેટી ખોલતા જ અંદરથી જૈન તીર્થંકરની મનોહર પ્રતિમા પ્રગટ થઈ હતી. આ સમાચાર મળતાં જ ઓલપાડ જૈન સંઘમાં હર્ષની હેલી ચઢી હતી અને ભગવાનની પ્રતિમાને સન્માનપૂર્વક ગાડામાં પધરાવી ઓલપાડ લાવવાની તૈયારી કરાઈ હતી. કુતૂહલવશ પેટી ખોલતા જ અંદરથી જૈન તીર્થંકરની મનોહર પ્રતિમા પ્રગટ થઈ હતી. આ સમાચાર મળતાં જ ઓલપાડ જૈન સંઘમાં હર્ષની હેલી ચઢી હતી અને ભગવાનની પ્રતિમાને સન્માનપૂર્વક ગાડામાં પધરાવી ઓલપાડ લાવવાની તૈયારી કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:56 am

ગુલ્લીબાજ ઇજનેરોને ફટકારવામાં આવી શોકોઝ નોટિસ:મતદાર યાદી સુધારામાં ગેરહાજર 25 આસિ.-2 ડે.ઇજનેરને શોકોઝ

પાલિકા ચૂંટણી માટે 2 દિવસમાં આચાર સંહિતા જાહેર કરાશે ત્યારે 23 માર્ચે રજૂ થયેલી પ્રાયમરી મતદાર યાદીમાં સુધારા સૂચનો બાદ 1 એપ્રિલે અંતિમ યાદી જાહેર કરવા પાલિકામાં મોડી રાત સુધી કામગીરી ચાલી હતી. નામ અન્ય બૂથમાં ખસી ગયા હોય, વિસ્તાર બદલાયા હોય અને બૂથ કપાઇ ગયા હોય જેવી ખામી પર સુધારા માટે સ્ટાફને હાજર રહેવા આદેશ કરાયા હતા. આ કામગીરી મધ્ય રાત સુધી ચાલી હતી. આ દરમિયાન સુધારા કામગીરીમાં ગુલ્લી મારનારા 25 આસિ. ઈજનેર અને 2 ડે. ઇજનેરને શોકોઝ ફટકારાઈ હતી. 23 માર્ચે રજૂ થયેલી પ્રાયમરી યાદીમાં સુધારા કરવા અરજી મંગાઇ હતી. જેથી અગાઉ 3185 બૂથની સંખ્યા ઘટાડીને 2587 કરી હોવાથી કપાયેલા બૂથોને ફરીથી યથાવત્ રાખવા અરજીઓ રજૂ થઈ હતી. આ સૂચનો પર પ્રક્રિયા પૂર્ણ કરી અંતિમ યાદી તૈયાર કરાશે. પાલિકાના ચૂંટણી વિભાગે યાદીનો રિપોર્ટ ગાંધીનગર મોકલવા પૂર્વે તમામ બિંદુ ચકાસ્યાં હતાં. મંગળવાર સવારે ગાંધીનગરથી અંતિમ સ્વરૂપ આપી યાદીને પ્રિન્ટ કરાશે. સંતોષકારક જવાબ ન મળે તો કડક કાર્યવાહી કરાશેપ્રાયમરી મતદાર યાદીમાં સુધારા જેવી મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન ગેરહાજર રહેલા પાલિકાના 25 આસિસ્ટન્ટ એન્જિનિયર અને 2 ડેપ્યુટી એન્જિનિયરને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં એક AE અને 2 ડેપ્યુટી ઇજનેરને ખુદ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે નોટિસ ફટકારી હતી. જો સંતોષકારક જવાબ ન મળે તો કાર્યવાહીની પણ ચીમકી આપી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:53 am

પશ્ચિમ રેલવેના સૌથી મોટું કાર્ગો ટર્મિનલને લીલી ઝંડી:ગંગાધરામાં સૌથી મોટું ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ શરૂ, પહેલી ટ્રેન રવાના

ગંગાધરા રેલવે સ્ટેશન પર ગતિ શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ શરૂ થયું છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક પ્રદીપ કુમારે પહેલી કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. 44,000 ચોરસ મીટર વિસ્તારમાં બનાવાયેલું આ ટર્મિનલ પશ્ચિમ રેલવેનું સૌથી મોટું ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ છે. આ પ્રોજેક્ટ મુંબઈ ડિવિઝન અને પ્રિસ્ટીન કનેરિયા લોજિસ્ટિક્સે તૈયાર કરવામાં આવ્યો હતો. જીએમએ જણાવ્યું કે આ ટર્મિનલ રેકોર્ડ 8 મહિનામાં બનાવાયું છે. સ્ટીલ, ટેક્સટાઇલ, સિમેન્ટના વહન માટે વધુ ઉપયોગીગતિ શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ હેઠળ વિકસાવવામાં આવી રહ્યાં છે. આ ટર્મિનલ સ્ટીલ, ટેક્સટાઇલ, સિમેન્ટ, ફ્લાય એશ, કેમિકલ અને ફર્ટિલાઇઝર જેવાં ઉત્પાદનોના પરિવહનને ઝડપી બનાવશે. પશ્ચિમ રેલવેનું આ પગલું માત્ર માલ-સામાનના વહનને પ્રોત્સાહન નહીં આપે, પરંતુ ટ્રાન્ઝિટ સમય ઘટાડીને ઉદ્યોગોને સીધો લાભ પણ પહોંચાડશે અને પ્રાદેશિક અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:51 am

કરદાતાઓને રાહત:હવે 10 લાખ ને બદલે 20 લાખ સુધીની મિલકત ખરીદો તો પાનકાર્ડ જરૂરી

1 એપ્રિલથી દેશમાં પાનકાર્ડ સંબંધિત ફેરફાર આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને માત્ર આધારકાર્ડનો ઉપયોગ કરીને જે રીતે પાનકાર્ડ મેળવી શકાતો હતો તે હવે નહીં મળે અને અગાઉ મિલકત ખરીદીમાં રૂપિયા 10 લાખના સોદા પર પાનકાર્ડ આપવો પડતો હતો તેમાં રાહત આપી 20 લાખ સુધીની મર્યાદા કરાઈ છે. સી.એ. પારસ શાહ કહે છે કે લિમિટ વધારાતાં કરદાતાઓને રાહત થઈ છે. મિલકતોના ભાવ જે રીતે વધ્યા છે તેમાં 10 લાખ સુધીની મિલકતો ભાગ્યે જ હોય છે અને આથી જ લિમિટ વધારીને 20 લાખ કરી હોય એમ લાગી રહ્યું છે. પાનકાર્ડ માટે નવા ફોર્મ અમલમાં આવશે, જેમાં નવું ફોર્મ 93 અને 95 ઉપરાંત 49એ કે જે ભારતીયો માટે હતા, NRI 49એએ નિવૃત્ત થઈ રહ્યા છે જ્યારે તેના બદલે ફોર્મ 93 ભારતીય માટે અને ફોર્મ 95 બિન નિવાસી વિદેશી સંસ્થાઓ માટે છે. 1લી પછી જૂના ફોર્મનો ઉપયોગ અસ્વીકાર્ય રહેશે. જે નામ આધારમાં હશે એ જ નામ પાનકાર્ડ પર આવશેહવે ફરજિયાત મેચિંગ થશે, એટલે કે નામ સુધારા માટે અગાઉ આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય તો ચાલી જતું હતું, પરંતુ હવે જે નામ આધરકાર્ડમાં હશે એ જ નામ પાનકાર્ડ પર આવશે. આ ઉપરાંત માન્ય જન્મ તારીખના પુરાવા માટે જન્મ તારીખ, મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર, પાસપોર્ટ, મતદાર આઇડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને મેજિસ્ટ્રેટે સહી કરેલી એફિડેવિટ જોઈશે. ભાસ્કર એક્સપર્ટહવે ડુપ્લિકેટ પાનકાર્ડના વેપલા પર પણ બ્રેક લાગશેઆજે કોઈપણ મોટી ખરીદી હોય તેના માટે પાનકાર્ડ જરૂરી છે. દરકે સરકારી કચેરીઓ, પોસ્ટ ઓફિસ, બેંકો વગેરે આવકવેરા વિભાગ સાથે જોડાયેલી હોય છે. મોટી ખરીદી થાય તો પણ સીધા ડેટા વિભાગને મળી જાય છે. બની શકે કે ડુપ્લિકેટ પાનકાર્ડ પર બ્રેક લાગે એ માટે પણ પાનકાર્ડ માટેની સિસ્ટમ સુદૃઢ કરવામાં આવી હોય. - દિનેશ દ્વિવેદી, સી.એ. અન્ય કયા સુધારા કરવામાં આવ્યા

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:49 am

ચેમ્બરની ચૂંટણી:164માંથી 10 ઉમેદવારનાં ફોર્મ રિજેક્ટ

ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં લાઈફ, પેટ્રન, ચીફ પેટ્રન સહિતની 72 બેઠકો માટે 164 ફોર્મ ભરાયાં હતાં. સોમવારે ચૂંટણી કમિટીએ તમામ ફોર્મની ચકાસણી હાથ કરી 10 ફોર્મ રિજેક્ટ કર્યાં હતાં. ચૂંટણી કમિટીના જણાવ્યા મુજબ, લાઈફ કેટેગરીના 8 ઉમેદવારોનાં ફોર્મ રિજેક્ટ થયાં હતાં, જ્યારે ગોલ્ડ અને ચીફ પેટ્રન કેટેગરીમાં એક-એક ઉમેદવારનાં ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યાં હતાં, જેનું મુખ્ય કારણ ઉમેદવારોએ ફોર્મમાં સહી કરવાનું ભૂલી જવું અને કેટલાક ચેમ્બરના સભ્ય બન્યાને બે વર્ષ પૂર્ણ થયાં ન હોવા છતાં ઉમેદવારી નોંધાવવી હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ કોઈપણ સભ્ય મેનેજિંગ કમિટીની ચૂંટણી લડવા માટે મિનિમમ 2 વર્ષ સુધી સભ્ય હોવો ફરજિયાત છે. આ નિયમને આધારે ચૂંટણી કમિટીએ ફોર્મની ચકાસણી કરીને નિયમ વિરુદ્ધના ફોર્મ રદ કર્યા હતા. હવે માન્ય ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા વધુ તેજ બનશે. મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને વેપારી વર્તુળોમાં રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ જૂથોમાં બેઠક અને મંત્રણાનો દોર શરૂ થયો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:48 am

ભાસ્કર એક્સક્લુસિવ:ઓઈલ કંપનીઓમાંથી ડામરનો સપ્લાય 25% થઈ જતાં હોટમિક્સ પ્લાન્ટ ઠપ, એક સપ્તાહથી રોડની કામગીરી બંધ

યુદ્ધની અસર હવે પાલિકા દરવાજે પણ પહોંચવા માંડી છે. ખાસ કરીને ઓઈલ કંપનીઓમાંથી બિટ્યુમીન (ડામર) અને ઓઇલના સપ્લાય પર અછત વર્તાઈ રહી છે. હાલમાં 4 ટેન્કરના ઓર્ડર સામે માંડ 1ની ડિવલિવરી મળી રહી છે, જેથી છેલ્લા અઠવાડિયાથી રોડની કામગીરી બંધ થઈ ગઈ છે. હોટ મિક્સ પ્લાન્ટ પર મહિનો પણ નહીં ચાલે એટલો સ્ટોક છે. હોળી પહેલાં રોજના સરેરાશ 12 કિમીનાં રોડનાં કામો થતાં હતાં. પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલિકા દર વર્ષે પેચવર્ક અને રિકાર્પેટિંગ કરે છે. જો કે, હાલ બિટ્યુમીન્સ અને જરૂરી ઓઇલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી કોન્ટ્રાક્ટરોએ રોડને લગતી તમામ કામગીરી સંપૂર્ણપણે અટકાવી દીધી છે. ખાડા પૂરવાનું કામ પણ અધવચ્ચે અટકી જતાં હાલમાં માત્ર રોડા-કપચી નાંખીને ગાડું ગબડાવાઈ રહ્યું છે, જેને કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. અછત પાછળનું ગણિત વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાતાં ડામરના ભાવ ટન દીઠ 40 હજારથી વધી 54 હજાર થઈ ગયાપાલિકાના જણાવ્યા પ્રમાણે, યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતાં ડામરના ભાવ પ્રતિ ટન 40 હજારથી વધીને 54 હજાર થઈ ગયા છે. બીજીતરફ, મંજૂર કરેલા નવા રસ્તાના કામો સ્થગિત કરી દેવાયા છે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધારે તો ચોમાસામાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી શકે છે. તમામ ઝોનોમાં હોટમિક્સ પ્લાન્ટ પર બિટ્યુમીનનો પૂરતો સ્ટોક રાખવા તાકીદ કરી છે. જો કે, કોન્ટ્રાક્ટરોના મતે મહિનો પણ નહીં ચાલે એટલો જ સ્ટોક છે. હાલમાં કોન્ટ્રાક્ટરો 4 ટેન્કર બુક કરાવે તો માંડ 1 ટેન્કર મળી રહ્યું છે. આગામી મહિનો પણ નહીં ચાલે એટલો જ સ્ટોક હોવાથી સ્થિતિ વધુ કથળશે એવી ધારણા છે. વૈકલ્પિક સપ્લાય વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવશે‘હાલમાં ઓછામાં ઓછા 15 દિવસ ચાલે તેટલો જ ડામરનો જથ્થો છે, જો સપ્લાયની સ્થિતિમાં સુધાર ન આવે તો રોડ નિર્માણ અને રિપેરિંગનાં કામો ધીમા પડી શકે છે અથવા સમયસર પૂર્ણ થઇ ન શકે તેવી સ્થિતિ છે, જેથી વૈકલ્પિક સપ્લાય વ્યવસ્થા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.’ > રોડ વિભાગ, પાલિકા હાલમાં 4 ટેન્કર બુક કરાવીએ તો માંડ 1ની ડિલિવરી મળે છેદરેક ઝોનના હોટ મિક્સ પ્લાન્ટ પર 30 ટન પુરવઠો સંગ્રહી શકાય તેટલી ક્ષમતા છે. જો કે, હાલમાં સ્થિતિ વિપરીત છે. 4 ટેન્કર બુક કરાવીએ તો 1 ગાડી જ ડિલિવરી મળતી હોવાથી સ્ટોક મેઇન્ટેઇન રાખવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. હાલમાં તો સ્ટોકની સ્થિતિ ઠીક છે. આગામી દિવસોમાં મુશ્કેલી સર્જય શકે છે. > એમ. પટેલ, પ્લાન્ટ ઓપરેટર ભાવ તોતિંગ વધ્યા છતાં જૂના ભાવે કામ કરવાની સ્થિતિરોડ કોન્ટ્રાક્ટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ભાવમાં તોતિંગ વધારો અને માલની અછતને કારણે જૂના ભાવે કામ કરવું કપરું બની રહ્યું છે. જો સમયસર કામ પૂર્ણ નહીં થાય તો પાલિકા પેનલ્ટી ફટકારે તેનો ડર પણ છે. રોડ વિભાગે કહ્યું કે, હોળીની રજા પછી એકસાથે નવા રોડ નિર્માણ, રિ-કાર્પેટ અને ટ્રેન્ચ બેસાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી હતી. જોકે ડામરનો સ્ટોક મર્યાદીત હોવાની બૂમ ઉઠતાં તમામ 9 ઝોનના પ્લાન્ટને સ્ટોક મેઇન્ટેઇન કરવા સૂચના આપી છે. આ સાથે જ રોજે રોજ સ્ટોકની સાંજ સુધીમાં યાદી ખાતામાં મોકલી આપવા પણ જાણ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:45 am

મધરાતે PSIના ફ્લેટમાં બની ફાયરિંગની ઘટના:રિવોલ્વરમાંથી ગોળી છૂટતા PSI પંડ્યા અને એક મહિલા ઇજાગ્રસ્ત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા

રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. યુનિવર્સીટી રોડ પર આવેલા સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં રહેતા PSIની રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું, જેમાં ફાયરિંગના કારણે ઈજાગ્રસ્ત PSI અને તેની સાથે એક મહિલાને ગોળી વાગી હતી. બન્નેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ બનાવ રાત્રીના 1 વાગ્યા આસપાસ બન્યો હતો. રિવોલ્વરમાંથી ગોળી છૂટતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એન.કે. પંડ્યાના હાથમાં અને સાથે રહેલ મહિલા પૂજાબેનને કમરના ભાગમાં ગોળી વાગી હતી. બનાવ જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા આ સમયે અચાનક ગોળી છૂટી જતા ફાયરિંગ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ખરા અર્થમાં શું ઘટના બની હતી અને હકીકત શું છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. PSI બે વર્ષથી ફ્લેટમાં રહેવા આવ્યા છે, મહિલા મિત્ર અવાર-નવાર આવતા હતાઅગાઉ યુનિવર્સિટી પોલીસ મથક અને હાલ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ નિતીન કે. પંડ્યા છેલ્લા દોઢ-બે વર્ષથી યુનિવર્સિટી રોડ પર આવેલા ઉમા પાર્કમાં શેરી નં-3માં સમન્વય સુલભ નામના એપાર્ટમેન્ટમાં 404 નંબરના ફ્લેટમાં એકલા જ રહેતા હતા. પૂજા નામના તેમના મહિલા મિત્ર અવાર-નવાર તેઓને મળવા આવતા હતા. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, ફાયરિંગની ઘટના બન્યા બાદ આ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું છે. પીએસઆઇ પંડ્યાએ તેમના પડોશીઓને પણ મિસફાયર થયું હોવાનું અને આ ઘટનામાં પોતાને અને તેમના મહિલા મિત્રને ઇજા થયાનું જણાવ્યું હતું. હાલ બંનેને ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે આ ઘટના બની ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ મથકના ડી-સ્ટાફના પીએસઆઇ વિક્રમ ડોડિયાને પણ કોઇએ ફોન કરીને ઘટનાથી વાકેફ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:39 am

કથિત પત્રકાર દ્વારા બ્લેકમેઇલિંગ:રાજકોટમાં કથિત મહિલા પત્રકારે હોટેલ સંચાલક પાસેથી રૂ.1 લાખની માગણી કરી

રાજકોટમાં કથિત પત્રકારોનો રાફળો ફાટ્યો છે ત્યારે એક પછી એક બ્લેકમેઇલિંગ અને તોડકાંડો પર પ્રકાશ પથરાયો છે. ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં બેડી ચોકડી વિસ્તારમાં હોટેલ ધરાવતા એક વ્યક્તિને યુવતી કાર રિપેર માટે આવ્યા બાદ માથાકૂટ કરી પોતે પ્રેસમાં હોવાનું કહી બદનામ કરી દેવાની ધમકી આપી હતી. આ મામલો અહીં જ ન અટક્યો આ કથિત મહિલા પત્રકારે બદનામ કરી દેવાની ધમકી સાથે રૂ.1 લાખની માગણી કરી હતી. આ મામલે હોટેલ સંચાલકે બી-ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. આ બનાવમાં બેડી ચોકડી વિસ્તારમાં હોટેલ ધરાવતા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલભાઈ પી. પીઠવા(ઉં.વ.26) નામના યુવકે બી-ડિવિઝન પોલીસ મથકમાં આપેલી અરજીમાં આરોપી તરીકે રિદ્ધિ ગોસ્વામી નામની યુવતીનું નામ આપ્યું છે. જેમાં આ કથિત મહિલા પત્રકાર સામે પૈસાની માગણી અને ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અરજદારે જણાવ્યું કે, તેને બેડી ચોકડી પાસે ચા-પાન, પંક્ચર અને ટ્યૂબની દુકાન છે. આરોપી મહિલા પોતાની સાથે 3-4 સાથીદારોને લઈને હોટેલ પર કારમાં પંક્ચર રિપેર કરાવવા આવી હતી બાદમાં પંક્ચર રિપેર થઈ શકે તેમ ન હોય જેથી હોટેલના કર્મચારીઓએ તેણીને ટ્યૂબ બદલી આપી હતી. જેને લઈને તેણીએ માથાકૂટ શરૂ કરી દીધી હતી અને પોતે પ્રેસમાં હોવાનું કહી વીડિયો પણ ઉતારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપી રૂ.1 લાખની માગણી કરવામાં આવી હતી. આ પજવણીની શરૂઆત આજથી લગભગ પંદરેક દિવસ પહેલા થઈ હતી જે બાદ પજવણી બ્લેકમેઇલિંગમાં પરિવર્તિત થતા ત્રાસી જઈ હોટેલ સંચાલકે યુવતી વિરુદ્ધ ગુનો નોંધાવવાનું નક્કી કર્યું હતું. કથિત મહિલા પત્રકારના સાથીદારે કહ્યું, “હું પોલીસમાં છું,’ આઈ કાર્ડ માગતાં ભોંઠો પડ્યોબી-ડિવિઝન પોલીસ મથકમાં કથિત મહિલા પત્રકાર સામે અરજી કરનાર રાહુલભાઈએ જણાવ્યું કે, આ યુવતી સાથે અન્ય ત્રણેક જેટલા યુવક પણ કારમાં બેઠા હતા. રિપેરિંગ માટે આપેલી ગાડીમાં ટ્યૂબ લગાવ્યા બાબતે માથાકૂટ દરમિયાન યુવતી સાથે આવેલા તેના એક પુરુષ સાથીદારે કારમાંથી પોલીસનો દંડો કાઢ્યો અને કહ્યું કે, હું પોલીસમાં છું. બાદમાં હોટેલ સંચાલકે આઈકાર્ડ માગ્યું તો તે ભોંઠો પડ્યો અને પોતે ‘હું તો બોલીશ’ પ્રેસમાં હોવાનું કહેવા લાગ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:23 am

આધેડે જીવાદોરી કાપી:એકલવાયા જીવનથી કંટાળીને આધેડનો આપઘાત

શહેરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. બાલાજી હોલ પાછળ આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 45 વર્ષીય રિક્ષાચાલક આધેડે એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. નિલેશભાઈ લાલજીભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી એકલા રહેતા હતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. બે દિવસ પહેલાં સંબંધીઓ સાથે તેમની વાત થઈ હતી, પરંતુ ત્યારબાદ તેઓ ફોન ન ઉપાડતા શંકા ઊભી થઈ હતી. આજે સવારે સંબંધીઓ તેમના ઘરે પહોંચતા દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતાં નિલેશભાઈ પંખામાં લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં એકલતાથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:21 am

કાર પાર્કિંગ મુદ્દે ઝઘડો ઉગ્ર બન્યો:પ્રૌઢ સામે છેડતી, બીભત્સ માંગના ગંભીર આક્ષેપ

શહેરના નાણાવટી ચોક નજીક આવેલા નંદનવન આવાસ ક્વાર્ટરમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હવે ગંભીર આક્ષેપો સુધી પહોંચ્યો છે. એક તરફ પ્રૌઢ પર પાઇપ અને બેટ વડે હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે, તો બીજી તરફ સામા પક્ષની મહિલાએ છેડતી અને જાતીય માગણીના ચોંકાવનારા આક્ષેપો સાથે વળતી ફરિયાદ નોંધાવી છે, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ઇજાગ્રસ્ત નટવર નાનજીભાઈ જાદવ(ઉ.વ.52)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે બપોરે તેમના સંબંધીએ આરોપીઓની રિક્ષા રાખવાની જગ્યાએ કાર પાર્ક કરી હતી. આ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ એક મહિલા સહિત ત્રણ શખ્સે તેમની પત્ની ચંપાબેન સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં પાઇપ અને બેટ વડે નટવરના માથામાં હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. સાથે જ જ્ઞાતિ સંબંધિત અપશબ્દો બોલ્યાનો પણ આક્ષેપ કરાયો છે, પરંતુ આ ઘટનાએ વળાંક ત્યારે લીધો જ્યારે સામા પક્ષની મહિલાએ નટવર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી. મહિલાના જણાવ્યા મુજબ, તેઓ પોતાના ઘર પાસે રિક્ષા પાર્ક કરવા ગયા ત્યારે ત્યાં કાર ઊભી હોવાથી તેને હટાવવાનું કહ્યું હતું. આ સમયે નટવર ઉશ્કેરાઈ ગયો અને મહિલાની સાથે અશ્લીલ વર્તન કરી શરીરસંબંધ બાંધવાની માગણી કરી હતી. વધુમાં જાહેરમાં તેમનું ટી-શર્ટ ફાડી નાખ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ રીતે એક સામાન્ય પાર્કિંગ વિવાદ હવે છેડતી અને હુમલાની પરસ્પર ફરિયાદોમાં ફેરવાતા વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે મારામારી, છેડતી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:21 am

JEE મેઈન પરીક્ષા:JEE મેઈન સત્ર-2ના એડમિટ કાર્ડ જાહેર પરીક્ષા કેન્દ્ર પર 1 કલાક વહેલાં પહોંચવું પડશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જેઈઈ મેઈન 2026 સત્ર-2 માટે એડમિટ કાર્ડ જારી કરી દેવામાં આવ્યા છે. આ એડમિટ કાર્ડ હાલ એવા ઉમેદવારો માટે જાહેર કરાયા છે જેમની પરીક્ષા 2 એપ્રિલ અને 4 એપ્રિલના રોજ યોજાવાની છે. પરીક્ષાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરી હોલટિકિટ મેળવી શકે છે. NTAના કડક દિશા-નિર્દેશો મુજબ, ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર ગેટ બંધ થવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં પહોંચવું અનિવાર્ય છે. ગેટ બંધ થયા પછી કોઈને પણ પ્રવેશ મળશે નહીં. જેઈઈ મેઈન સત્ર-2 હેઠળ પેપર-1 (BE, B.Tech) ની પરીક્ષા 2 એપ્રિલથી 8 એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. પરીક્ષા દરરોજ બે શિફ્ટમાં લેવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3:00થી સાંજે 6:00 વાગ્યા સુધી હશે. સવારની શિફ્ટનો રિપોર્ટિંગ સમય સવારે 7:00થી 8:30 સુધી અને બપોરની શિફ્ટના ઉમેદવારોનો રિપોર્ટિંગનો સમય બપોરે 1:00થી 2:30 સુધીનો રહેશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી વિગતોમાં ભૂલ નથી ને તે ચેક કરી લેવી હિતાવહ છે. એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ અને રોલ નંબર, પરીક્ષાની તારીખ, સમય અને શિફ્ટ, પરીક્ષા કેન્દ્રનું સરનામું, ફોટો અને સહી સ્પષ્ટ છે કે નહીં તે તપાસવી. જો કોઈ ભૂલ જણાય તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવો. ઉમેદવારો આવી રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:19 am

ગુરુવારે હનુમાન જન્મોત્સવ:ઢોલ-નગારાના તાલે મહાઆરતી, આતશબાજી, મારુતિયજ્ઞ, 60 ફ્લોટ્સ સાથે રથયાત્રા નીકળશે

ચૈત્ર સુદ પૂનમના રોજ ગુરુવારે તા.2 એપ્રિલના દિવસે હનુમાનનો જન્મોત્સવ છે. આ દિવસે હસ્ત નક્ષત્ર સાંજે 5:37 સુધી છે ત્યારબાદ ચિત્રા નક્ષત્ર છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં થયેલ. હનુમાનજીની ઉપાસના કરવાથી બીમારીઓ રોગ અને મુસીબત દૂર થાય છે. આ તકે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, શનિની નાની- મોટી પનોતીની પીડા પણ દૂર થાય છે, રાહુ પીડા પણ દૂર થાય છે. હનુમાનજીની મૂર્તિ રજવાડી રથમાં બિરાજમાન થશે, 251 કિલો મલીદાના પ્રસાદનું વિતરણશ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા ગુરુવારે સાંજે 4:30 કલાકે રામનાથપરા-16 સ્થિત શ્રી બડા બજરંગ હનુમાનજી મંદિરથી રથયાત્રા પ્રસ્થાન કરશે. તેમાં 60થી વધુ આકર્ષક ફ્લોટ્સ જોડાશે. આ યાત્રામાં હનુમાનજીની મૂર્તિ રજવાડી રથમાં બિરાજમાન થશે, જેને ભાવિકો શ્રદ્ધાપૂર્વક રસ્સા વડે ખેંચશે. માર્ગમાં 251 કિલો મલીદાના પ્રસાદનું વિતરણ થશે અને રથ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. યાત્રામાં કેદારનાથની ઝાંખી, દેવી-દેવતાઓ અને દેશના લડવૈયાઓના જીવંત પાત્રો, ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ગૌમાતાનું મહત્ત્વ સમજાવતા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ યાત્રા રામનાથપરા મેઇન રોડ, હાથીખાના, કેનાલ રોડ, પેલેસ રોડ અને કરણપરા ચોક જેવા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને શ્રી બાલાજી મંદિર, ભૂપેન્દ્ર રોડ ખાતે સંપન્ન થશે. ફાઉન્ડેશનના પ્રમુખ કલ્પેશ ગમારા અને સમિતિના સભ્યોએ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય મહોત્સવમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે. ધાર્મિક કાર્ય સાથે સેવાકીય પ્રવૃતિ કરાશેરાજકોટના કાલાવડ રોડ પર આવેલા શ્રી ચમત્કારિક ધામ ખાતે ગુરુવારે મંગળા આરતી સવારે 6 વાગ્યે, વિશ્વ શાંતિ માટે મારુતિ યજ્ઞ 7:30 વાગ્યે, 10:30 વાગ્યે ધ્વજારોહણ કરાશે. સાંજના 5 વાગ્યે અન્નકૂટ દર્શન, 7 વાગ્યે ઢોલ-નગારાના તાલે મહાઆરતી યોજાશે અને 7:30થી મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ. ભક્તિ સંધ્યામાં ઇસ્કોન મંદિર દ્વારા સાંજે સંત-કીર્તન અને હનુમાનજીના ગુણગાનનો કાર્યક્રમ યોજાશે. વિશેષ આકર્ષણ તરીકે રાત્રે 10:30 વાગ્યે ભવ્ય આતશબાજી જોવા મળશે. આ દિવસે સવારે 11 વાગ્યે રામરચિત ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તથા કુંડાનું નિઃશુલ્ક વિતરણ, સાંજે 6 વાગ્યે કુમકુમ ગ્રૂપ દ્વારા તુલસીના રોપાનું વિતરણ અને સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પ યોજાશે. મંદિર સંચાલન સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભગત, કાર્યકારી પ્રમુખ ગિરિરાજસિંહ રાઠોડ દ્વારા ઉત્સવમાં પધારવા આમંત્રણ અપાયું છે. હનુમાનજીની પૂજા કરવા બેસી ત્યારે લાલ કે કેસરી વસ્ત્રો પહેરવા ઉત્તમહનુમાન જયંતીના દિવસે ભાઈઓએ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી. બાજુમાં સરસવના તેલનો ફૂલ વાટનો દીવો કરવો, હનુમાનજીને ચંદનનો ચાંદલો કરી 7,11,21 કે 108 હનુમાન ચાલીસાના પાઠ અથવા સુંદરકાંડનો પાઠ કરવો. ઉપરાંત ૐ નમો હનુમંતે ભયભંજનાય સુખ કુરુ ફટ સ્વાહ મંત્રનો જાપ પણ કરી શકાય. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને સુખડી નૈવેદ્ય ધરવું ઉત્તમ છે. હનુમાનજીની પૂજા કરવા બેસો ત્યારે ખાસ કરીને લાલ અથવા કેસરી વસ્ત્રો પહેરવા પણ ઉત્તમ ગણાય છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:17 am

ડ્યુએથલોનનું આયોજન કરાયું:ફિટનેસ અવેરનેસ માટે 21 કિમી સાઇક્લિંગ, 5 કિમી રનિંગ કરાયું

રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા રોટરી મીડટાઉન લાઇબ્રેરીના સહયોગથી ડ્યુએથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આશરે 140 જેટલા ઉત્સાહીએ ભાગ લીધો હતો. જેમાં 21 કિમી સાઇક્લિંગ અને 5 કિમી રનિંગ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીન રોડ પરથી શરૂ કરવામાં આવી હતી. ઇવેન્ટનો ફ્લેગ ઓફ રાજકોટ એસ.પી. વિજયસિંહ ગુર્જર, ડૉ.જતિનભાઈ મોદી, જિગ્નેશ કામદાર અને આકાશ પારેખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ માટે કુલ 2.5 કલાકનો કટઓફ સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાંથી 139 ભાગલેનારએ સફળતાપૂર્વક સમયમર્યાદામાં પૂર્ણ કર્યું હતું. ઇવેન્ટમાં ભાગલેનાર માટે સંસ્થા દ્વારા હેલ્મેટ તથા હેડલાઇટ અને ટેઇલલાઇટ ફરજિયાત રાખવામાં આવી હતી તેમજ પૂરતું માર્ગદર્શન અને સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. તમામ ભાગલેનારોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે, આ ઇવેન્ટનો મુખ્ય હેતુ શહેરમાં ફિટનેસ અવેરનેસ ફેલાવવાનો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:16 am

મધ્ય-પૂર્વના યુદ્ધની માઠી અસર:સિંગતેલની રસોઈમાં મોંઘવારીનો ‘તડકો, કપાસિયા અને પામોલીન પણ ભડકે બળ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

તહેવારો પહેલાં જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો બોજ આવી પડ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી રસોડા સુધી પહોંચી છે. ક્રૂડ ઓઈલની સાથે ખાદ્યતેલોની સપ્લાય ચેઈન ખોરવાતા રાજકોટ સહિત રાજ્યભરના તેલબજારમાં તેજીની ‘આગ’ લાગી છે. સિંગતેલ બાદ હવે કપાસિયા અને પામોલીન તેલના ભાવ પણ આસમાને પહોંચતા મધ્યમવર્ગની હાલત કફોડી બની છે. આ તેજી હજુપણ ચાલુ રહે તેવી આગાહી નિષ્ણાતોએ કરી છે. ખાદ્યતેલમાં તેજી પાછળના મુખ્ય કારણો બજારની વર્તમાન સ્થિતિ, ક્યા તેલમાં કેટલો ઉછાળો? મધ્યમવર્ગના રસોડાનું બજેટ ખોરવાયુંખાદ્યતેલોના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારો માટે રસોઈ બનાવવી મોંઘી બની છે. મર્યાદિત આવક વચ્ચે ખર્ચ વધી રહ્યો છે. તેલના ડબ્બાના ભાવ 3000ની આસપાસ પહોંચતા ઘરનું બજેટ ખોરવાયું છે. માસિક કરિયાણાના બજેટમાં માત્ર તેલ પાછળ જ રૂ.300થી 500નો વધારાનો બોજ પડતા સામાન્ય માણસની આર્થિક કમર તૂટી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:15 am

સિટી એન્કર:ગર્ભવતી પત્નીના આંસુઓએ પતિને બદલી નાખ્યો, અનૈતિક સંબંધ છોડીને માફી માગી, 181ની ટીમે પરિવાર વિખેરાતો બચાવ્યો

શહેરમાં પરિવારિક સંબંધોની નાજુક સ્થિતિ દર્શાવતો અને સાથે જ સમયસર લેવાયેલા યોગ્ય પગલાંથી એક તૂટતું ઘર બચી શકે છે એવો સંદેશ આપતો એક હૃદયસ્પર્શી બનાવ સામે આવ્યો છે. રાજકોટની એક પરિણીતાએ પોતાના પતિના અનૈતિક સંબંધોથી કંટાળી અંતે મદદ માટે હાથ લંબાવ્યો હતો. અંદાજે 10 વર્ષના લગ્નજીવન પછી વિશ્વાસમાં પડેલી તિરાડે પરિવારને તોડી નાખવાની સ્થિતિ ઊભી કરી હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સાત મહિનાની ગર્ભવતી પત્નીને પણ ઘર છોડીને જવા કહેવામાં આવતું હતું. પીડિતાના જણાવ્યા મુજબ, છેલ્લા લગભગ 11 મહિનાથી તેમના પતિનો અન્ય મહિલા સાથે સંબંધ હતો. આ મુદ્દે ઘરમાં વારંવાર ઝઘડા થતા અને દરેક વખતે પત્ની સમાધાન માટે પ્રયત્ન કરતી, પરંતુ પતિ પર તેની કોઈ અસર પડતી નહોતી. ગર્ભાવસ્થાની સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ મહિલાએ સતત માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો. અંતે પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોવાને કારણે મહિલાએ મદદ માગી. ઘટનાના દિવસે પતિ અન્ય મહિલાને મળવા ગયા હોવાની જાણ થતાં, પત્નીએ હિંમત ભેગી કરી અને બંનેને સામસામે બેસાડી વાત કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન સમજણ અને સંવાદનો એવો માહોલ સર્જાયો કે પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો. ગર્ભવતી પત્નીની સ્થિતિ અને તેના દુઃખ સામે તેઓ નમ્યા. તેમણે પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માગી અને ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી આપી. ઘટનામાં જોડાયેલી ટીમે પણ શાંતિપૂર્વક બંને પક્ષને સમજાવ્યા, પતિને તેમના પરિવાર પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવ્યું અને સંબંધોમાં વિશ્વાસનું મહત્વ સમજાવ્યું. આખરે, પત્નીએ પણ વિશાળ દિલ રાખીને પતિને માફ કરી અને સંબંધને બીજી તક આપી. આ બનાવ માત્ર એક પરિવારની કહાની નથી, પરંતુ સમાજ માટે વિચારવા જેવી વાત છે, સંબંધોમાં તિરાડ પડ્યા પછી પણ સમજણ અને સંવાદથી પરિવારને બચાવી શકે છે. સમયસર લેવાયેલો નિર્ણય સંબંધ માટે નવી તકરૂપી બને છેદાંપત્ય જીવનમાં તણાવ કે ગેરસમજ ઊભી થાય ત્યારે તેને અવગણવા કરતા સમયસર વાતચીત અને માર્ગદર્શન લેવું જરૂરી છે. આ બનાવ બતાવે છે કે યોગ્ય સમયે સહારો લેવાથી તૂટતાં સંબંધો પણ ફરી જોડાઈ શકે છે. સંવાદ, સમજણ અને જવાબદારી આ ત્રણ બાબતો જ પરિવારને બચાવવાનો સાચો આધાર બને છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:10 am

હાઈકોર્ટે પોલીસ અધિકારીનો ઉધડો લીધો:શું પછાત વિસ્તારના લોકોને તમે માણસમાં ગણતા નથી?

અરવલ્લીમાં રહેતા આરોપીની ધરપકડ બાદ તેનો 3 દિવસ બાદ મૃતદેહ મળી આવતા તેમના પરિવારે હાઈકોર્ટમાં કસ્ટોડિયલ ડેથ થયું હોવાની અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે સરકારને આડે હાથ લેતા ટકોર કરી હતી કે પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટેલા આરોપીની વાત કરો છો, પણ જવાબદાર પોલીસ અધિકારીને તમે તાત્કાલિક અસરથી શા માટે સસ્પેન્ડ નથી કર્યા? પોલીસ ફોર્સ શું કરે છે? પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા આરોપીની લાશ મળે તે સ્પષ્ટ કરે છે કે કસ્ટોડિયલ ડેથ છે. તેના શરીર પરથી ઇલેક્ટ્રિક શોકના નિશાન મળ્યાં છે. કાગળ પર આરોપી તમારી કસ્ટડી પર બતાવે છે અને તમે તેને શોધવાને બદલે સીધા બહારથી લાશ મળી હોવાની થિયરી લઈને આવો છો? જે ગામડા કે પછાત વિસ્તારમાંથી આવે છે તેમની સાથે પોલીસ અમાનવીય વર્તન કરે છે. તમે તેને માણસ પણ નથી ગણતા? આ મામલે નેશનલ હ્યુમન રાઇટ કમિશને પણ પોલીસ પાસે જવાબ માગ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 5:01 am

ભારતીય પીકલબોલના એવોર્ડ માટે અમદાવાદી કોચની પસંદગી:ધીરેન પટેલ દેશના પ્રથમ 'પીપીઆર ઇન્ડિયા કોચ ઓફ ધ યર'એવોર્ડથી સન્માનિત કરાયા

રમતગમત ક્ષેત્રે અમદાવાદના ફાળે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. શહેરના જાણીતા કોચ ધીરેન પટેલને દેશના સૌપ્રથમ 'PPR ઇન્ડિયા કોચ ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટની માન્યતા બાદ 'ટ્રેન ધ ટ્રેનર' મોડલ હેઠળ 28 માર્ચે શહેરમાં યોજાયેલા 'IPA અને PPR લેવલ-1 કોચ સર્ટિફિકેશન પ્રોગ્રામ' દરમિયાન તેને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદના અન્ય ત્રણ કોચને પણ આ મોડલ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી છે. પીકલબોલ રમતને પ્રોત્સાહન આપવા, ખેલાડીઓને તૈયાર કરવા અને નવા કોચને માર્ગદર્શન આપવામાં તેમના અજોડ યોગદાન બદલ આ પસંદગી કરવામાં આવી છે. ધીરેન પટેલ પોતે એક સર્ટિફાઇડ PPR ક્લિનિશિયન છે અને તેમણે પાયાના સ્તરથી લઈને સ્પર્ધાત્મક સ્તર સુધી પીકલબોલના વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી 30 જેટલા કોચ હાજર રહ્યા હતા, જેમને આધુનિક કોચિંગ પદ્ધતિઓ અને ટેકનિકલ કૌશલ્યોની તાલીમ આપવામાં આવી હતી. આ એવોર્ડનો મુખ્ય હેતુ દેશભરના કોચને પ્રોત્સાહિત કરવાનો અને ભારતમાં ઝડપથી વિકસી રહેલી પીકલબોલ રમતનું ભવિષ્ય વધુ મજબૂત બનાવવાનો છે. જેમ આ રમત લોકપ્રિય થઈ રહી છે, તેમ ધીરેન પટેલની આ સિદ્ધિ અન્ય ખેલપ્રેમીઓ માટે પ્રેરણારૂપ બનશે. આ એવોર્ડ કેમ ખાસ છે?ભારતમાં પીકલબોલની રમત માટે 'કોચ ઓફ ધ યર' એવોર્ડની શરૂઆત આ વર્ષે એટલે કે 2026થી જ કરવામાં આવી છે. ધીરેન પટેલ આ સન્માન મેળવનાર ભારતના સૌથી પહેલા કોચ બન્યા છે. આ એવોર્ડ અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા 'પ્રોફેશનલ પીકલબોલ રજિસ્ટ્રી' (PPR) અને 'ઇન્ડિયન પીકલબોલ એસોસિએશન' (IPA) દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:59 am

જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો:ખુદરંગ દિલ...જીગરાના અવાજનો જાદુ છવાયો

JG યુનિવર્સિટીનો એન્યઅલ યુથ કનેક્ટ ફેસ્ટ યોજાયો. જેમાં 8000થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા. ફેસ્ટમાં સિંગર જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. તેમના પરફોર્મન્સમાં સ્ટુડન્ટ્સે મસ્તી સાથે ડાન્સ કર્યોં હતો. સમગ્ર ફેસ્ટનું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ દ્વારા કરાયું હતું. બેકસ્ટેજથી લઈને ઈવેન્ટના ઈમ્પ્લિમેન્ટેશન સુધીની દરેક જવાબદારી સ્ટુડન્ટ્સે સંભાળી હતી. તે ઉપરાંત ડીજે ધવલના મ્યુઝિક પર સ્ટુડન્ટ્સે ડાન્સ કર્યોં હતો. જીગરદાન ગઢવીના પરફોર્મન્સમાં વિદ્યાર્થીઓ મનમુકીને ઝુમ્યા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:58 am

અંકુર સ્કૂલ ખાતે ‘આત્મ બલમ 1.0’ યોજાયું:‘આત્મ બલમ 1.0’ ની પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીનીઓની નૃત્ય ક્ષમતાઓનો પરિચય

અમદાવાદ : ક્લાસિકલ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નૃત્ય ક્ષમતાઓ સાથે આત્મબળનો પરિચય આપ્યો. ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનના ઉપક્રમે અંકુર સ્કૂલ ખાતે ‘આત્મ બલમ 1.0’ યોજાયું. નૃત્યભારતીના નિરાલી ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિઓ રજૂ થઈ. જેમાં બૌદ્ધિક રીતે વિકલાંગ છતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની હાથથી બનાવેલી કૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. તેમાં ઉત્થાન તાલીમ કેન્દ્ર, નવજીવન ટ્રસ્ટ, ડૉ. જીત મહેતા બળશાળા ટ્રસ્ટ, સંસ્કૃતિ, દ્રોણાગિરી હર્બલ્સ, ભટ્ટ બ્રધર્સ, ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન, અંકુર શાળા સામેલ રહ્યા. કાર્યક્રમનો હેતુ વિશિષ્ટ વ્યક્તિઓના કૌશલ્યને આગળ લાવી આત્મનિર્ભર બનાવવાનો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:56 am

GLS યુનિવર્સિટી ખાતે ‘કલામંચ’નું આયોજન કરાયું:મનહર ઉધાસને ‘કલારત્ન’ એવોર્ડ એનાયત

GLS યુનિવર્સિટી ખાતે ‘કલામંચ’નું આયોજન કરાયું. જે અંતર્ગત ગઝલકાર મનહર ઉધાસને કલારત્ન એવોર્ડથી સન્માનિક કરવામાં આવ્યા હતા. સંગીત ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને આ સન્માન અપાયું. કલામંચના કલ્ચરલ પરફોર્ન્સમાં સ્ટુડન્ટ્સે મીરાં બાઈ, રાણી લક્ષ્મીબાઈ જેવા પાત્રોને નૃત્યથી જીવંત કર્યા. તેમજ ફેશન શૉની પહેલી સિક્વન્સ ‘હેરિટેજ લેબ’માં સ્ટુડન્ટ્સે પરંપરા, વારસો જ્યારે બીજી સિક્વન્સમાં દેવીના વિવિધ સ્વરૂપોને આધુનિક, કલાત્મક રીતે રજૂ કર્યા. કલામંચ સ્ટુડન્ટ્સ માટે આર્ટિસ્ટિક પ્લેટફોર્મ બની રહ્યું. ‘કલારત્ન’ હિસ્ટોરીક આર્ટ્સ તરફથી મળેલું પહેલું સન્માન છે. લોકો આજે પણ ગઝલ, ભજન સાંભળવામાં રસ ધરાવે છે. પર્ફોર્મિંગ આર્ટમાં સ્ટુડન્ટ્સ માટે ડ્રામા સાથે ગઝલનો પણ સબ્જેક્ટ રાખવો જોઈએ. ગઝલ લખવાનું શીખવાડવું જોઈએ. ફોર્મેશન પણ શીખવાડવું જરૂરી છે.’ - મનહર ઉધાસ

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:55 am

એક્ઝિબિશનમાં 200થી વધુ આર્ટ ડિસ્પ્લે થયાં:સ્ટોરી ટેલિંગ અને વિઝ્યુઅલ આર્ટથી બાળકો નવી બાબત ઝડપથી શીખે છે

સ્કૂલના બાળકોમાં કલ્પનાશક્તિ ખીલે તે માટે પહેલાં સ્ટોરી ટેલિંગ કરાવીને પછી વિઝ્યુઅલ આર્ટ કરાવીએ તો સો ટકા પરિણામ મળે છે. આ રીતે બાળકોની કલ્પનાશક્તિ ખીલે છે. ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યુથી કરાવેલી આ પ્રેક્ટિસ તેમનામાં સેલ્ફ કોન્ફિડન્સ પણ વધારે છે. આ વાત કનોરિયાના ચિલ્ડ્રન કોર્સના ઇન્ચાર્જ ફોરમ પાઠકે કહી. કનોરિયા સેન્ટર ફોર આર્ટસ ખાતે ત્રિ-વર્ષીય ચિલ્ડ્રન કોર્સના વિદ્યાર્થીઓની આર્ટને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રદર્શન શરૂ થયું છે. પ્રદર્શનનો પ્રારંભ પરિધિ અદાણી, ગાર્ગી યાદવની હાજરીમાં થયો. પ્રદર્શન 1 એપ્રિલ સુધી જોઈ શકાશે. એક્ઝિબિશનમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન શીખેલી વિવિધ આર્ટ રજૂ કરી છે. ડ્રોઈંગ, પેઇન્ટિંગ, શિલ્પકળા, ગ્રાફિક્સ, ક્રાફ્ટ વર્ક સામેલ છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:53 am

M.E/M.Tech પ્રવેશ પ્રક્રિયા:એમઈ, એમટેકની 358 બેઠકો પર પ્રવેશ માટે 9 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે

રાજ્યની 6 ખાનગી ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) યુનિવર્સિટીઓમાં પીજી (M.E/M.Tech) માટે પ્રવેશની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. ACPCએ જાહેર કરેલી વિગત મુજબ સંસ્થાઓની 358 બેઠકો પર માત્ર ક્વોલિફાઈંગ GATE સ્કોરના આધારે જ મેરિટ તૈયાર કરી પ્રવેશ આપવામાં આવશે તેમ એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડોનિલય ભૂપતાણીએ જણાવ્યુંહતું. 2 વર્ષમાં ખાલી રહેલી બેઠકો મહત્ત્વની સમયરેખા: કઈ સંસ્થામાં કેટલી બેઠકો?

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:51 am

ધો.12 સાયન્સ બોર્ડ પરીક્ષા:રસાયણ, ભૌતિક, જીવ વિજ્ઞાન અને ગણિતની આન્સર કી મુકાઈ

જીએસઈબીની ધો. 12 સાયન્સની પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સોમવારે મૂકવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ- 2026માં લીધેલી ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન,જીવ વિજ્ઞાન વિષય પ્રશ્નપત્રના સેટ નંબર એકથી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના નિષ્ણાતોએ તૈયાર કરી મૂક્યા છે. આન્સર કી અંગે કોઈ પણ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ પર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E MAIL ID ; gshsebsciencekey@gmail.com ઉપર ચોથી એપ્રિલ, 2026ના રોજ શનિવારે સાંજે છ કલાક સુધીમાં કરવાની રહેશે. તે પછીની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજૂઆત માત્રને માત્ર E MAIL મારફતે સ્વીકારાશે. પ્રશ્નદીઠ નિયત ફી 500 રુપિયાના ચલણથી SBI BANK માં ભરવાની રહેશે. આ ચલણનો નમૂનો બોર્ડન વેબસાઈટ પર મૂકાયો છે. જે ભરી E MAIL મારફતે અવશ્ય મોકલવો પડશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:49 am

ઓપન સ્કૂલિંગનો ટ્રેન્ડ:NEET-UG 2025માંથી 10 વિદ્યાર્થીએ ઓપન બોર્ડમાં અભ્યાસ કરીને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો

મેડિકલ અને ઈજનેરીમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ(એનઆઈઓએસ) નવો વિકલ્પ બની રહ્યો છે. નીટ -યુજી 2025માં ગુજરાતના 10 વિદ્યાર્થીઓએ ઓપન બોર્ડમાં અભ્યાસ કરી મેડિકલમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાંથી 8 વિદ્યાર્થીએ એમબીબીએસ અને 2 વિદ્યાર્થીઓએ બીડીએસ એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરીની સીટની પસંદગી કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નિયમિત (Regular) સ્કૂલિંગ મોટો પડકાર હોય છે. સ્કૂલ અને કોચિંગ સાથે મેનેજ કરવાથી સેલ્ફ સ્ટડી માટે સમય મળવો મુશ્કેલ બને છે. આથી, નિયમિત શાળાએ જવાની ફરજ ન હોય તેવા વિકલ્પ તરફ વિદ્યાર્થીઓ વળ્યા છે. વર્ષ 2025 સુધી મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી નિયમો બદલાવાનો વિદ્યાર્થીઓમાં ડર હતો. પરંતુ હવે 2026થી આ શરત હટાવી દેવામાં આવી છે. નવા નિયમો સ્થિર અને સ્પષ્ટ છે, જેનાથી ખાસ કરીને NIOS અને ઓપન બોર્ડના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. હવે એડિશનલ બાયોલોજી રાખનારા વિદ્યાર્થીઓ પણ NEET આપી શકશે રેગ્યુલર-ઓપન સ્કૂલ્સ કે NIOSના વિદ્યાર્થીની હવે સમાન પાત્રતા જ ગણાશેNIOS નિષ્ણાત અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અગાઉ પાત્રતાને લઈને જે દ્વિધા હતી તે હવે દૂર થઈ ગઈ છે. NEET-UG 2026ના ઇન્ફોર્મેશન બુલેટિનમાં પાત્રતાના નિયમો સ્પષ્ટ કરી દેવાયા છે. હવે રેગ્યુલર સ્કૂલ, ઓપન સ્કૂલ કે NIOSના તમામ વિદ્યાર્થીઓ સમાન રીતે પાત્ર ગણાશે, શરત માત્ર એટલી કે તેમણે જરૂરી વિષયોનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.” NEET-2026 માટે નિયમોમાં ફેરફાર: ‘બોર્ડ’ના પ્રકારને બદલે ‘વિષયો’ને મહત્ત્વૉનેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) ની ભલામણો મુજબ, હવે વિદ્યાર્થીઓની પાત્રતામાં ‘બોર્ડ’ના પ્રકારને બદલે ‘વિષયો’ ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. NTAના નવા સ્પષ્ટીકરણ મુજબ, કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથે ધો. 12 પાસ કરનાર વિદ્યાર્થી NEET-UG પરીક્ષા માટે પાત્ર ગણાશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:49 am

UCC બિલના વિરોધમાં આક્રમક કાર્યક્રમોનું આયોજન:યુનિફોર્મ સિવિલ કોડ બિલને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરાશે

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ મામલે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ બિલની વિરુદ્ધમાં સમિતિની કોર ગ્રુપની યોજાયેલી બેઠકમાં આ બિલની વિરુદ્ધમાં વિવિધ કાર્યક્રમો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આ બિલના કાનુની પાસાઓનો અભ્યાસ કરવા માટે નિષ્ણાંત વકીલોની ટીમ બનાવવામાં આવશે. અભ્યાસ બાદ આ બિલને ગુજરાત હોઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટમાં પડકારવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં જમાત એ ઈસ્લામીના સભ્ય ઈકબાલ મિરઝાએ કહ્યું હતું કે,યુસીસી બિલ અંગે લો કમિશને સર્ચ કરીને કહેલુ કે આ બિલની જરૂર જ નથી અને તે ઈચ્છનીય નથી. તેમ છતાં તેને લાવવામાં આવ્યું છે. એટલે બંધારણ વિરુદ્ધમાં લાવેલા આ બિલનો વિરોધ કરવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં આ બિલને રદ કરવાની માગ સાથે રાજ્યના ગર્વનરને મળીને આવેદન પત્ર આપવામાં આવશે. બાદમાં તા.3 એપ્રિલે ગુજરાતની તમામ મસ્જિદોમાં જુમ્માની નમાઝ હાથમાં કાળી પટ્ટી બાંધીને યુસીસીનો વિરોધ કરાશે. બાદમાં મુસ્લિમ સમુદાયના ધાર્મિક, સામાજિક, રાજકિય આગેવાનો, વકીલો, મુસ્લિમ જમાતો અને સંગઠનોના હાદ્દેદારો પર આધારિત પ્રતિનિધી મંડળો દ્વારા તા.6 એપ્રિલે રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટરને આવેદન પત્ર આપવા અને કલેક્ટર કચેરી બહાર પ્લે કાર્ડ સાથે મૌન ધરણા યોજાવામાં આવશે. અન્ય ધાર્મિક અને સામાજિક સંગઠનો સાથે ચર્ચા કરીને સહમતિ અને સહયોગ મેળવવા પ્રયત્નો કરાશે. જેમાં મુદ્દાને માત્ર એક સમુદાયનો નહીં પરંતુ બંધારણીય અને નાગરિક અધિકારોના મુદ્દા તરીકે રજૂ કરાશે. યુસીસી કાયદો શું છે તે અંગે જાગૃતિ લાવવા માટે સેમિનાર, વર્કશોપ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:47 am

SBI કર્મચારીઓનો PLI અસમાનતા સામે ઉગ્ર વિરોધ:ઇન્ક્રીમેન્ટ ભેદભાવના આક્ષેપ સાથે બેંકના સ્ટાફે ઓવરટાઈમ બંધ કર્યો

ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફિસર્સ ફેડરેશન અને ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક સ્ટાફ ફેડરેશન દ્વારા પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ (PLI) યોજનાને લઈ વિરોધ કર્યો છે . કર્મચારીઓનું કહેવું છે કે નવી ઇન્સેન્ટિવ પદ્ધતિમાં સ્પષ્ટ અસમાનતા છે. સ્કેલ 1 થી 3ના અધિકારીઓ અને ક્લાર્ક વર્ગને માત્ર 15 દિવસના વેતન જેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે, જ્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને 70થી 100 ટકા સુધીના લાભ આપવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના મતે, બેંકના દૈનિક કામગીરીમાં સૌથી વધુ જવાબદારી નીચલા કેડરના સ્ટાફ પર હોય છે, છતાં તેમને ઓછું પ્રોત્સાહન મળવું અન્યાય સમાન છે. આ મુદ્દે સંસ્થાઓએ અનેક વખત મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ પર વહેલી તકે નિર્ણય નહીં લેવાય તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. કર્મચારીઓએ ‘વર્ક ટુ રૂલ’નો માર્ગ અપનાવ્યોઆ સ્થિતિ નો વિરોધ કરવા હાલ કર્મચારીઓએ ‘વર્ક ટુ રૂલ’નો માર્ગ અપનાવ્યો છે. તેના હેઠળ હવે તેઓ માત્ર સત્તાવાર સમય એટલે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી જ કામ કરી રહ્યા છે. આ સમય બાદ કોઈ પણ કર્મચારી ઓફિસમાં રોકાશે નહિ અને ઓવરટાઈમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. અગાઉ સ્ટાફની અછત હોવાથી કર્મચારીઓ નિયમિત રીતે વધારાના કલાકો સુધી કામ કરતા હતા, પરંતુ હવે તે પ્રથા પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે.- નીતેશ પરમાર યુનિયન પ્રતિનિધિ

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:46 am

પ્રેક્ટિકલ પરીક્ષાનો ડર દૂર કરવા મેડિકલ રિવિઝન સેશનનું આયોજન:પરીક્ષામાં માત્ર જ્ઞાન જ નહીં, પણ રજૂઆત અને આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્ત્વનો

મેડિકલ અભ્યાસમાં ફાઈનલ વર્ષ સૌથી અઘરું માનવામાં આવે છે. થિયરીની તૈયારી બધા કરે છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષામાં કેવા પ્રશ્નો પુછાશે, પેશન્ટ સામે કેવી રીતે વર્તવું અને એક્ઝામિનરની અપેક્ષા શું હશે, તેને લઈને વિદ્યાર્થીઓ ભારે તણાવમાં હોય છે. આ સ્ટ્રેસને કારણે ઘણીવાર તેજસ્વી વિદ્યાર્થીઓ પણ ભૂલો કરી બેસે છે. તો આ ભય ને દૂર કરવા માટે મેડિકલ એસોસિએશન દ્વારા વિશેષ રિવિઝન સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 6 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ પહેલાં શહેરની 6 થી વધુ મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને સ્ટ્રેસ-ફ્રી કરવા માટે એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા પ્રેક્ટિકલ ટિપ્સ આપવામાં આવી રહી છે મેડિકલ એસોસિએશનના ડૉ. જીજ્ઞેશ શાહ પ્રમુખ જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં બી.જે. મેડિકલ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, NHL, સોલા સિવિલ અને GCS જેવી પ્રતિષ્ઠિત કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. પીડિયાટ્રિકના સેશનમાં 400 અને ENTમાં 170 જેટલા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. જોકે, ડિજિટલ માધ્યમનો વ્યાપ એટલો છે કે લાઈવ સેશન્સમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા. આગામી ગાયનેક અને સર્જરીના સેશન્સ માટે અત્યાર સુધીમાં 450થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે . એટલે 1500 થી વધુ વિદ્યાર્થી આનો લાભ લઇ રહ્યા છે . આમ એવા પ્રોફફેસરને બોલાવ્યા છે જે પોતે વર્ષોથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેતા આવ્યા છે. આ અનુભવી શિક્ષકો વિદ્યાર્થીઓને એ સમજાવે છે કે પરીક્ષામાં માત્ર જ્ઞાન જ નહીં, પણ રજૂઆત અને આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:44 am

ઇન્ડિગો આગામી 23 એપ્રિલથી નવી ફ્લાઇટ શરૂ કરશે:અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરને વાયા નવી મુંબઈ એરપોર્ટ દેશના 30 શહેર સાથે એર કનેક્ટિવિટી મળશે

અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પહેલા ઈન્ડિગોએ ગુજરાતમાં તેમના નેટવર્કને વધુ મજબૂત બનાવવાના રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા 6 શહેરોથી નવી મુંબઈ માટે ફ્લાઈટ ઓપરેટ કરશે. જેના કારણે દેશભરના 30થી વધુ ડેસ્ટિનેશનની મુસાફરોને કનેક્ટિવિટીનો લાભ મળશે. જેમાં મુસાફરોને આગ્રા,અયોધ્યા, બાગડોગરા, ચંડીગઢ, કોલકાતા, પટણા, શ્રીનગર,વારાણસી, વિશાખાપટ્ટનમ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ટૂરિસ્ટોને ધ્યાનમાં રાખી ઈન્ડિગોએ દુબઇ, અબુધાબી બાદ અમદાવાદથી ફૂકેટની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. નવી મુંબઈ માટે ગુજરાતના કયા 6 શહેરોથી સીધી ફ્લાઈટ

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:39 am

પીએમ મોદી આજે ગુજરાતમાં:વડાપ્રધાન આજે 20 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ મળીને 19,806.90 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ સવારે સાડા નવે અમદાવાદ એરપોર્ટ પર આવીને સીધા ગાંધીનગર પાસેના કોબા જૈન તીર્થ ખાતે તૈયાર થયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે એક વાગ્યે તેઓ સાણંદમાં કાયનેઝ સેમિકોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત કરાવશે જ્યારે સાંજે નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં જાહેર સભાને સંબોધિત કરશે. મોદી જે પ્રકલ્પના ઉદ્ઘાટન કરશે તેમાં કેન્દ્રના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના 10,921 કરોડના તેમજ રાજ્ય સરકારના શહેરી વિકાસ, જળ સંપત્તિ, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના 8886 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લાના ખાવડા ખાતે 3,600 કરોડના ખર્ચે બનેલા વિશ્વનો સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્કનું લોકાર્પણ કરશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:33 am

ભાસ્કર એક્સક્લુસિવ:ગુજરાતની વિવિધ બેન્કમાં રોકડની અછત, સુરતની બેન્કે મેરઠથી પ્લેનમાં કૅશ મગાવી

ગુજરાતમાં બેન્કિંગ સેક્ટરમાં રોકડની અછતનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. અનેક બેન્કોમાં કેશ ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોને ચેક જમા કરાવ્યા બાદ તરત જ રૂપિયા મળતા નથી અને તેમને 2 દિવસ બાદ આવવા કહેવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વધુ ગંભીર બની છે. સ્થિતિ એટલી વિકટ બની છે કે કેટલીક બેન્કોએ અન્ય રાજ્યોમાંથી રોકડ મંગાવવાની ફરજ પડી છે. સુરતની એક ખાનગી બેન્કે ઉત્તર પ્રદેશના મેરઠમાંથી વિમાન મારફતે રોકડ મંગાવી હતી, જ્યારે એક કો-ઓપરેટિવ બેન્કે મુંબઈમાંથી રોકડા 37 કરોડ અને અન્ય એક બેન્કે નવાપુર-મુંબઈથી 25 કરોડ રોકડા મંગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક એસોસિએશને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને પત્ર લખી તાત્કાલિક રોકડ સપ્લાય વધારવાની રજૂઆત કરી છે. સાઉથ ગુજરાત કો.ઓપરેટીવ બેન્ક એસોસિએશનના ઉપપ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, ‘હાલ કેશની અછતનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ પરિસ્થિતિ ચિંતાજનક છે. કેટલીક બેન્કો અન્ય રાજ્યોમાંથી રોકડ મંગાવી રહી છે, જે અસામાન્ય સ્થિતિ દર્શાવે છે સ્કોબાએ આરબીઆઈને આ રજૂઆત કરીછેલ્લાં એક મહિનાથી વધુ સમયથી બેન્કોમાં રોકડની ગંભીર અને સતત અછત છે અને છેલ્લા 10-15 દિવસમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. અગાઉ બેન્કો જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો સાથેના સંબંધોના આધારે અનૌપચારિક વ્યવસ્થાથી રોકડની જરૂરિયાત પૂરી કરતી હતી. પરંતુ હવે સ્થિતિ ગંભીર તબક્કે પહોંચી ગઈ છે, જેના કારણે નીચે મુજબ અસર થઈ રહી છે. સહકારી બેન્કિંગ પ્રત્યે જનવિશ્વાસ પર અસર, કામગીરી દરમિયાન આવતી મુશ્કેલીઓઓ થઈ રહી છે. આ ત્રણ કારણથી રોકડની અછત 1. યુદ્ધની સ્થિતિ : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિને કારણે લોકોમાં અનિશ્ચિતતા વધી છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો બેન્કિંગ સેવા અને એટીએમ પર અસર થઈ શકે તેવી ભીતિથી લોકો બેન્કમાંથી વધુ રકમ ઉપાડી કેશ ઓન હેન્ડ રાખવાનું પસંદ કરી રહ્યા છે. 2. પાંચ રાજ્યોની ચૂંટણી: દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીને કારણે મોટા પ્રમાણમાં રોકડ રકમ તે રાજ્યોમાં પહોંચી ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર, કાર્યકરોના ખર્ચા અને અન્ય વ્યવહારો માટે રોકડનો ઉપયોગ કરતા હોવાથી બેન્કિંગ સિસ્ટમમાંથી મોટી માત્રામાં કેશ બહાર ગઈ છે. 3. માર્ચ એન્ડિંગ : માર્ચ એન્ડિંગને કારણે વેપારીઓ અને ઉદ્યોગકારો વર્ષાંતના હિસાબ પૂરા કરવા, પગાર, બિલ અને અન્ય ચુકવણીઓ કરવા માટે બેન્કમાંથી રોકડ ઉપાડી રહ્યા છે. દર વર્ષે માર્ચ મહિનામાં રોકડની માગમાં સામાન્ય કરતા વધુ વધારો થાય છે. જેના કારણે બેન્કોમાં કેશની અછત જેવી સ્થિતિ સર્જાય છે. 65 હજાર કરોડની તંગીમાર્ચમાં બેન્કો પાસે કુલ 65 હજાર કરોડની રોકડ અછત છે. એડવાન્સ ટેક્સ-GSTની ચૂકવણી દ્વારા બેન્કોમાંથી મોટી રકમ સરકારમાં ગઈ સાથે ડૉલર વેચાણના લીધે મોટી રકમ સિસ્ટમમાંથી બહાર જતા અછત સર્જાઈ. એક્સક્લુસિવ

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:29 am

સિટી એન્કર:માત્ર 10% પમ્પિંગ ધરાવતા 60 વર્ષના વૃદ્ધને 30 વર્ષના યુવકના હૃદયથી નવજીવન મળ્યું, અગાઉ 6 હૃદય રિજેક્ટ કરાયાં હતાં

ફર્સ્ટ પર્સન 60 વર્ષીય ચંદુભાઈને લાંબા સમયથી હૃદયની બીમારી હતી. એન્જિયોપ્લાસ્ટી અને પેસમેકર બાદ પણ તેમનું હાર્ટ પમ્પિંગ માત્ર 10% જ હતું, જેથી ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ રસ્તો નહોતો. અમે ‘નોટ્ટો’ માં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમદાવાદમાં અત્યાર સુધી 110થી વધુ ટ્રાન્સપ્લાન્ટ થયા છે, પરંતુ મારા અને હોસ્પિટલ માટે આ પ્રથમ કેસ હોવાથી તે હિમાલય સર કરવા સમાન પડકાર હતો. અમે ઉતાવળ કરવાને બદલે યોગ્ય મેચિંગની રાહ જોઈ અને પરફેક્ટ પેરામીટર્સ ન મળતા 6થી 7 હૃદય રિજેક્ટ કર્યા. છેવટે, એપોલો હોસ્પિટલમાંથી 30 વર્ષના બ્રેનડેડ યુવાનના હૃદય માટે ફોન આવ્યો. અમારી ટીમ ગ્રીન કોરિડોર મારફતે હૃદય લઈ આવી, જ્યારે બીજી તરફ ડો. અલ્પેશ પટેલ, ડો. ઉત્કર્ષ સંધવી સહિતની ટીમ ઓપરેશન થિયેટરમાં તૈયાર હતી. દોઢ કલાકની જટિલ સર્જરી બાદ ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું. આજે ત્રણ મહિના બાદ દર્દીનું હૃદય બરાબર કામ કરી રહ્યું છે. રિજેક્શન ચેક કરવા માટે કરાયેલી બાયોપ્સીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે, જે અમારા માટે મોટી સફળતા છે. શહેરમાં 110થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાંશહેરમાં યુએન મહેતા હોસ્પિટલ અને મેરિન્ગો સિમ્સમાં સૌથી વધુ 110થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે, આ ઉપરાંત ઝાયડસ અને કે.ડી. હોસ્પિટલમાં પણ એકા-બે ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં કાર્ડિયોલોજિસ્ટ, એનેસ્થિયા ટીમ, ક્રિટિકલ કેર ટીમની મહત્ત્વની ભૂમિકા હોય છે. હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે આ પ્રક્રિયા કરવી પડે છે

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:24 am

ITR રિફંડમાં ફરી વિલંબ:રાજ્યના 7 લાખ કરદાતાનું પ્રોસેસિંગ હજુય બાકી

વિત્ત વર્ષ 2025-26માં ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવામાં કરદાતાઓને લાંબી રાહ જોવી પડી રહી છે. 24 માર્ચ, 2026 સુધીના આંકડા મુજબ, ગુજરાતમાં કુલ 23.11 લાખથી વધુ રિટર્ન ફાઇલ થયા છે. જેમાંથી 15.79 લાખ રિટર્ન વેરિફાઇ થઈ ચૂક્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે માત્ર 4.30 લાખ રિટર્ન જ પ્રોસેસ થયા છે. આમ, 7.32 લાખથી વધુ વેરિફાઇડ રિટર્ન હજુ પણ પ્રોસેસિંગની રાહમાં છે. હવે રિફંડમાં વિલંબનું કારણ વહીવટી સુસ્તી નથી, પરંતુ વિભાગની અત્યાધુનિક ઓટોમેટેડ ચેકિંગ સિસ્ટમ છે. આ સિસ્ટમ કરદાતાના ડેટાને એઆઈએસ, ટીઆઈએસ અને ફોર્મ 26AS સાથે સરખાવે છે. જો વ્યાજની આવક, કેપિટલ ગેઇન કે ટીડીએસમાં મામૂલી તફાવત જણાય, તો રિટર્નને સેકન્ડરી વેરિફિકેશન માટે ફ્લેગ કરવામાં આવે છે. આ પારદર્શિતા વધારવા માટેનો પ્રયાસ હોવા છતાં, સામાન્ય કરદાતાઓને રિફંડ માટે 2 થી 4 મહિનાનો સમય લાગી રહ્યો છે. સરકારનો દાવો છે કે આ નવી સિસ્ટમ વધુ પારદર્શિતા અને છેતરપીંડી રોકવા માટે બનાવવામાં આવી છે. રિટર્ન હવે માત્ર ફાઇલિંગના આધારે નહીં, પરંતુ સંપૂર્ણ ડેટા વેલિડેશન પછી જ પ્રોસેસ થાય છે. રિફંડમાં વિલંબ થવાના મુખ્ય કારણો

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:20 am

હાઈ-સ્પીડ ચાર્જિંગ પોઈન્ટ્સ કાર્યરત કરાયા:11 સ્થળે ટુ-થ્રી વ્હીલર માટે ચાર્જિંગ સ્ટેશન શરૂ, 30 મિનિટમાં ચાર્જ થશે, પ્રતિ યુનિટ રૂ.20 ચૂકવવા પડશે

શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોના વધતા ક્રેઝ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી મોડલ પર વિવિધ સ્થળે ચાર્જિંગ સ્ટેશનો લગાવ્યા છે. અત્યાર સુધી માત્ર ફોર-વ્હીલર વાહનો માટે જ ઉપલબ્ધ એવી ફાસ્ટ ચાર્જિંગની સુવિધા હવે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકોને પણ મળતી થશે. પીપીપી મોડલ હેઠળ શહેરના 10 મહત્વના વિસ્તારો અને ગિફ્ટ સિટીમાં એક મળી કુલ 11 સ્થળોએ આ હાઈ-સ્પીડ ચાર્જિંગ પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. નવી સુવિધા મુજબ, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કે રિક્ષા હવે માત્ર 25થી 30 મિનિટમાં 80 ટકા જેટલી ચાર્જ થઈ શકશે. વાહનચાલકોને તેના માટે અંદાજે 20 રૂપિયા પ્રતિ યુનિટનો દર ચૂકવવો પડશે. જો કોઈ વાહનમાં 4 કિલો વોટની બેટરી હોય, તો તેને સંપૂર્ણ ચાર્જ કરવાનો ખર્ચ અંદાજે 80 રૂપિયા જેટલો થશે. આ સુવિધાથી ડિલિવરી બોયઝ, રિક્ષા ચાલકો અને ઓફિસ જતા વાહનચાલકોના સમયની મોટી બચત થશે. ફાસ્ટ ચાર્જિંગવાળાં વાહનોમાં જ ઝડપથી ચાર્જિંગ થઈ શકશેમોબિલેનના ડિરેક્ટર ગુંજન મહેતાએ કહ્યું કે, ટુ અને થ્રી વ્હીલર માટે ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. ગ્રાહકો પાસે ફાસ્ટ ચાર્જિંગના વાહનો હશે તેમને ઝડપથી ચાર્જિંગની સુવિધા મળશે. આ વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:10 am

શેરબજારમાં ઘટાડો:શેરમાર્કેટ બે વર્ષના તળિયે, સેન્સેક્સ 1636 પોઇન્ટ તૂટતા 72000 અંદર

અમેરિકા-ઈરાન યુદ્ધના પાંચમા સપ્તાહમાં શેરબજારમાં ઘટાડો જળવાઇ રહ્યો છે. સેન્સેક્સ 1636 પોઈન્ટ ઘટીને 71947 બંધ રહ્યો નિફ્ટી પણ 488 પોઈન્ટ ઘટીને 22331 બંધ થયો. આ સાથે ભારતીય બજાર લગભગ બે વર્ષ પહેલાના સમાન સ્તરે એટલે કે 14 ફેબ્રુઆરી 2024ના રોજ સેન્સેક્સ 71822 હતો તે સ્તર પર પહોંચ્યું છે. ક્રૂડના વધતા ભાવ વચ્ચે ફુગાવો વધવાના ભયે બજારમાં ગભરાટ ફેલાવ્યો છે. ક્રૂડ યુદ્ધ પહેલા 70 ડોલરની આસપાસ હતું જે એક મહિનામાં 53% વધ્યું છે. રોકાણકારોની મૂડી વધુ 9 લાખ કરોડથી વધુ ઘટીને 412.41 લાખ કરોડ રહી છે. વૈશ્વિક બજારોમાં પણ કરેક્શનનો દોર લંબાઇ ગયો છે. જાપાનનો નિક્કી 2.8%, દક્ષિણ કોરિયાનો કોસ્પી 3% અને હોંગકોંગનો હેંગસેંગ 0.8% ઘટ્યા છે. ડોલર સામે રૂપિયાએ ઇન્ટ્રા-ડે 95ની સપાટી ગુમાવીઆરબીઆઇ દ્વારા રૂપિયાને ઘટતો અટકાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે. સપ્તાહના પ્રારંભે રૂપિયામાં 165 પૈસાની આક્રમક વોલેટાલિટીના અંતે ઇન્ટ્રા-ડેમાં 95ની સપાટી કુદાવી 95.22ના નવા તળિયે પહોંચ્યા બાદ અંતે 94.78 બંધ રહ્યો હતો. યુધ્ધની શરૂઆતથી છેલ્લા એક માસમાં રૂપિયામાં સરેરાશ 4.5 ટકા એટલે કે ચાર રૂપિયાનું ધોવાણ થયું છે. ગતવર્ષે માર્ચની શરૂઆતમાં ડોલરની કિંમત 85-86 આસપાસ હતી. જોકે અમેરિકા દ્વારા ઉંચા ટેરિફના દબાણ હેઠળ રૂપિયો મનોવૈજ્ઞાનિક સપાટીઓ તોડીને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:08 am

પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં નારાજગી:બાંટવા શહેરમાં લાઇન રિપેર કરવા ખોદકામ કર્યું છતાં કામ ન જ થયું !

બાંટવામાં આયોજન વિના જ ગ્રાંટ વાપરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.અને અમુક કામો તો એવા છે જે લોકોને ઉપયોગી થવાને બદલે મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે. પાલિકા તંત્ર ની અંદર પાણી પુરવઠા વિભાગ હોય રોશની શાખા હોય ભૂગર્ભ ગટર વિભાગ હોય અથવા તો એન્જિનિયર કોઈ જાતના તાલમેલ વગર કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન વગર વિકાસના કામો કરી પાછળથી પાણીનો પ્રશ્ન હોય ગર્ભ ગટરનો પ્રશ્ન હોય કે રોશની શાખાનો પ્રશ્ન હોય ખોદકામ ચાલુ થઈ જાય છે તાજેતરમાં જ થોડા સમય પહેલા બનેલો ડામર રોડ જે પાણીની પાઇપલાઇન રીપેર કરવાના બહાને મોટો ખાડો ખોદીને પ્રજાને વેપારીઓને હાલાકીમાં મૂકી દીધા છે બે દિવસ થયા આ ખાડો હજુ રીપેર કરાયો નથી. જેથી યોગ્ય કામગીરીની માંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

વ્યાજખોરો થયા બેખોફ:વ્યાજખોરોને હવે પોલીસનો જરા પણ ડર નથી, વિસાવદરમાં યુવકનું મકાન, કાર ઝૂંટવી લીધી

વિસાવદરના મોટા કોટડા ગામે રહેતા એક યુવકને મકાન બનાવવા માટે લીધેલા નાણાંના બદલામાં વ્યાજખોરે મકાન, કાર પચાવી પાડી પત્નીને ઉપાડી જવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મોટા કોટડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા 26 વર્ષીય સાહીલ ઉર્ફે અલ્તાફ ઇકબાલભાઈ શાલમદારે વિસાવદર પોલીસ નોંધાવેલી ફરિયાદ અનુસાર આશરે 2 વર્ષ પહેલા તેણે લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા મિત્ર ફૈઝીત ફારુકભાઈ સોલંકી પાસેથી મકાન બનાવવા માટે રૂ. 2.50 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. સાહીલે દર મહિને રૂ. 25,000 લેખે વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ શખ્સે વ્યાજમાં વધારો કરી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ​વ્યાજખોરે સાહીલનું મકાન સસ્તામાં વેચાવી નાખ્યું હતું અને તેમાંથી નાણાં પડાવી લીધા હતા. આટલેથી ન અટકી સાહીલના નામે લોન કરાવી આઈફોન લેવડાવ્યો હતો અને તે ફોન પણ વેચીને પૈસા લઈ લીધા હતા. યુવકે અત્યાર સુધીમાં વ્યાજ અને મુદ્દલ પેટે લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરનું પેટ ભરાયું ન હતું. ફૈઝીતે સાહીલની જીજે 12 ઇઇ 9285 નંબરની કાર પણ પચાવી પાડી હતી. તેમજ વ્યાજખોરે સાહીલની પત્નીને ધમકી આપી હતી કે જો બાકીના પૈસા નહીં મળે તો તારે મારી સાથે રહેવા આવવું પડશે, નહીંતર તને ઉપાડી જઈશ. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને સાહીલે સોમવારે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

રાજ્યભરની ટીમો વચ્ચે ખરાખરી જંગ જામી:જૂનાગઢમાં ત્રણ દિવસીય ફૂટબોલ લીગ સીઝન-2ના વિજેતાઓને ટ્રોફી એનાયત

શહેરમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા ‘જૂનાગઢ ફૂટબોલ લીગ (JFL) સીઝન-2' સંપન્ન થઈ છે. નેશનલ પ્લેયર પ્રથમ સોમાણી દ્વારા સ્વ. પવન કોટેચાની સ્મૃતિમાં આયોજિત આ ટુર્નામેન્ટ તા. 27 થી 29 માર્ચ દરમિયાન સીટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં જૂનાગઢ ઉપરાંત અમદાવાદ અને જામનગર જેવા શહેરોની ટીમોએ પણ ભાગ લીધો હતો. આ વર્ષની સૌથી મોટી વિશેષતા ગર્લ્સ કેટેગરીનો પ્રારંભ હતો. દીકરીઓએ મેદાન પર ઉતરીને સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. ટુર્નામેન્ટમાં અન્ડર-17, અન્ડર-19 અને ઓપન એજ જેવી વિવિધ કેટેગરીઓમાં રસાકસીભરી મેચો રમાઈ હતી. બોયઝ અન્ડર-19 અને ઓપન કેટેગરીમાં જામનગર ફૂટબોલ એકેડમીએ મેદાન મારી વિજેતા ટ્રોફી હાંસલ કરી હતી, આ ઉપરાંત જ્યારે ગર્લ્સમાં રેબલ સ્ટ્રાઈકર્સ અને બોયઝ અન્ડર-17માં સિટી લાયન્સ વિજેતા બન્યા હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટન ડોલરભાઈ કોટેચા અને ધારાસભ્ય સંજય કોરડીયાએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમાપન સમારોહમાં મનપા કમિશનર તેજસ પરમાર, શૈલેશભાઈ દવે, સીતાબેન દવે, ઉત્તમ કોટેચા તથા જીતું કોટેચાના હસ્તે વિજેતાઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ આયોજન માત્ર રમત પૂરતું મર્યાદિત ન રહેતા, યુવાનોમાં શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવાનું માધ્યમ બન્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:પોરબંદરમાં આરોગ્ય પરમીટ હોલ્ડરો માટે વાઇન શોપ ખુલશે, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી

રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા પોરબંદર જિલ્લામાં તેમજ ગાંધીભૂમિ પોરબંદર શહેરમાં આરોગ્ય પરમીટ હોલ્ડરો માટે વાઇન શોપની મજૂરી આપી છે.ત્યારે જિલ્લામાં 1500 લોકો આરોગ્યના કારણો આપી દારૂ પીવાની પરમીટ ધરાવે છે આવા લોકોને હવે જામનગર અને જૂનાગઢના ધક્કા ખાવા પડશે નહિ.આ વાઇન શોપ ખાતે એન.આઈ.આર.પ્રવાસીઓ તેમજ અન્ય રાજ્યના વિઝીટર પ્રવાસીઓ માટે પણ સ્થળ પર પરમીટની સુવિધા ઉપલબ્ધ થશે. મહાત્મા ગાંધી જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે.મહાત્મા ગાંધીના જન્મ સ્થળ એવા પોરબંદરમાં વર્ષોથી વાઇન શોપ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.પોરબંદર જિલ્લામાં નશાબંધી વિભાગના આંકડા અનુસાર આરોગ્ય કારણોસર 1500 થી વધુ લોકો પાસે લીકર પરમિત ધરાવે છે. આ પરમીટ ધારકો પોરબંદર નજીકના જૂનાગઢ અને જામનગર ખાતે વાઇન શોપમાં દારૂ લેવા જવાની ફરજ પડે છે ત્યારે હવે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા પોરબંદર શહેરમાં વાઇન શોપ માટેની મજૂરી આપવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે જોકે હજુ સુધી આ અંગે નશાબંધી વિભાગને મજૂરી અંગે જાણ કરવામાં આવી નથી પરંતુ નિયામક કક્ષાએ હાલ આ મજૂરી અંગેના કાર્યવાહી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર શહેરમાં વાઇન શોપની મજૂરી મળતા જ 1500 જેટલા આરોગ્ય પરમીટ ધારકોને હવે જૂનાગઢ તેમજ જામનગર ખાતે ધક્કા ખાવા નહિ પડે. મળતી વિગતો અનુસાર આગામી 10 દિવસમાં પોરબંદર ખાતે વાઇન શોપ અંગેની કાર્યવાહી પણ પૂર્ણ થઈ જશે જે બાદ ડિપાર્ટમેન્ટ તરફથી સબ ઇસ્પેક્ટરની નિમણૂક કરી અને ઓનલાઈન આઈ.એસ.એમ.એસ.સિસ્ટર ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં આરોગ્ય પરમીટ ધારકોની તમામ વિગતો ઉપલબ્ધ હોય છે. જોકે ગાંધી જન્મ સ્થળ પોરબંદરમાં લીકર પરમિશન ધારકો માટે વાઇન શોપની મજૂરી આપવામાં આવતા ગાંધી પ્રેમીઓમાં પણ રોશ જોવા મળી રહ્યો છે. વાઇન શોપમાં સ્થળ પર પ્રવાસીઓ પરમીટ મળશે તજજ્ઞોના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લામાં વાઇન શોપ શરૂ થયેલ શોપ ખાતે જ સ્થળ પર એન.આઈ.આર.પ્રવાસીઓને 1 માસની તેમજ અન્ય રાજ્યના વિઝીટર પ્રવાસીઓને 1 અઠવાડિયાની પરમિશન આપવામાં આવે છે. વાઇન શોપ માટે મુખ્ય નિયમો (1) 3 સ્ટાર કેગેટરીની હોટેલ તેમજ રિસોર્ટ કેગેટરી હોવી જોઈએ (2) આસપાસના 200 મીટર વિસ્તારમાં ધાર્મિક સ્થળો તેમજ સ્કૂલ,કોલેજ ન હોવી જોઈએ (3) વાઇન શોપ માટે જરૂરી લેઆઉટ અને સેટઅપની જગ્યા ઉપલબ્ધ હોવી જોઈએ. વાઇન શોપ માટે શું શું કાર્યવાહીની જોગવાઇ‎વાઇન શોપ માટે નશાબંધી વિભાગમાં અરજી કરવાની હોય છે જે બાદ જિલ્લા‎ઇસ્પેક્ટર દ્વારા સ્થળ પર વેરીફીકેશન કરવામાં આવે છે જે બાદ સલાહકાર‎સમિતિમાં અરજી મુકવામાં આવે છે અને જે બાદ નિયામક દ્વારા આ અરજી‎સરકારમાં મોકલવામાં આવે છે.‎

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

ATM બંધ થતાં લોકો પરેશાન:કુતિયાણા શહેરમાં એટીએમ બંધ, બહાર ખુલ્લા વીજ વાયરો લટકે છે

કુતિયાણા શહેરમાં એસબીઆઈ બેંકનું એટીએમ ઘણા સમયથી બંધ છે અને બહાર ખુલ્લા વીજ વાયર લટકે છે. અન્ય બેંકના એટીએમ પણ રાત્રીના સમયે બંધ કરી દેવામાં આવે છે. લોકોને રાત્રીના સમયે ઇમરજન્સી રૂપિયા જોઇતા હોય તો રાણાવાવ અથવા ઉપલેટા સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. કુતિયાણા શહેર આસપાસ 40થી વધુ ગામડાઓ આવેલ છે. કુતિયાણા શહેરમાં એસબીઆઈ બેંકનું એટીએમ ઘણા સમયથી બંધ હાલતમાં છે અને બહાર ખુલ્લા વીજ વાયરો લટકે છે જેથી લોકો અને પશુઓ માટે જોખમી બન્યા છે. અન્ય બેંકના એટીએમ આવેલ છે પરંતુ રાત્રે 8 વાગ્યે બંધ થઈ જાય છે. વેપારીઓ સહિતના શહેરીજનો અને ગ્રામ્ય વાસીઓને રાત્રીના સમયે ઇમરજન્સી રૂપિયાની જરૂર ઉભી થાય તો છેક રાણાવાવ અથવા ઉપલેટા અથવા બાંટવા ગામ સુધી ધક્કા ખાવા પડે છે. કુતિયાણામાં એસબીઆઇનું એટીએમ બંધ. તસવીર- નાગેશ પરમાર એટીએમ ના મતલબ સાર્થક થતો નથીએટીએમ એટલે કે એની ટાઇમ મની ! ગમે ત્યારે રૂપિયા ઊપડે તેવી સુવિધા કુતિયાણા ખાતે જોવા મળતી નથી. રૂપિયા જમા કરાવવા કે ઉપાડવા હોય તો રાત્રે 8 પછી લોકોને બહારગામ જવું પડે તેવી સ્થિતિ જોવા મળે છે. > રામદેભાઈ વદર, સામાજિક કાર્યકર, કુતિયાણા વેપારીઓને હાડમારી વેઠવી પડે‎કુતિયાણા શહેર તાલુકા કક્ષાનું ગામ છે અને અહીં રાત્રીના સમયે‎રૂપિયાની જરૂર પડે ત્યારે રૂપિયા નીકળતા નથી. એટીએમ બંધ કરી‎દેવામાં આવે છે. જેને કારણે વેપારીઓને ભારે હાડમારી પડે છે અને અન્ય‎શહેર સુધી રૂપિયા ઉપાડવા ધક્કા ખાવા પડે છે. સમયનો વ્યય થાય છે. >‎વિજયભાઈ થાપલીયા, વેપારી, કુતિયાણા‎

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે મનપાની કાર્યવાહી:TVS મોટર કંપની તરફથી પેમ્પલેટ‎ ઉડાડાતા રૂ. 2,000નો દંડ ફટકારાયો‎

શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવા માટે પોરબંદર મનપા દ્વારા સતત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ તથા સ્વચ્છતા નિયમોનો ભંગ કરનારાઓ સામે સમયાંતરે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં મનપાના સેનિટેશન વિભાગ દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકીના જણાવ્યા મુજબ TVS મોટર કંપની તરફથી રિક્ષા મારફતે જાહેરાત કરવામાં આવતી વખતે પેમ્પલેટ તથા અન્ય સામગ્રી જાહેરમાં ઉડાડવામાં આવી રહી હતી, જેના કારણે શહેરના માર્ગો અને જાહેર વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા સેનિટેશન વિભાગ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને નિયમોના ભંગ બદલ સંબંધિત પક્ષ સામે રૂ. 2,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી ન કરવામાં આવે તે માટે કડક ચેતવણી આપવામાં આવી છે. લોકો શહેરની સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે અને જાહેરમાં કચરો ન ફેંકે. સ્વચ્છતા જાળવવી દરેક નાગરિકની જવાબદારી છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવી ખાતરી મનપા દ્વારા આપવામાં આવી છે. ગત 13 માર્ચના રોજ દંડ ફટકાર્યો હતોવોર્ડ નં. 2 વિસ્તારમાં ચેકીંગ દરમિયાન ટીવીએસ શોરૂમ દ્વારા વાહનો ઉતાર્યા બાદ થયેલ પ્લાસ્ટિકનો કચરો નજીક આવેલા બ્રિજની નીચે ફેંકવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવતા સંબંધિત સંસ્થા સામે રૂ. 1,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ:રેલ્વેકર્મીએ બિનવારસી બેગમાં રહેલા કપડાંના સ્ટીકરને આધારે મૂળમાલિકને શોધી બેગ પરત કરી

પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા કોમર્શિયલ સુપરવાઈઝરને સ્ટેશનમાં એક લાવારીસ બેગ મળ્યું હતું ત્યારે આ બેગના મૂળ માલિકને શોધી તેમને પરત કરવામાં આવ્યું હતું.આ બેગમાં રૂ.8 હજાર રોકડ,દવા સહિતના કિંમતી સામાન હતો. પોરબંદર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કોમર્શિયલ સુપરવાઈઝર કૃપિન જે. ધારૈયાએ પોતાની ડ્યુટી દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા એક લાવારિસ બેગ LPOમાં જમા કરાવવામાં આવી હતી.આ બેગમાં કપડા, રૂ 8000 રોકડ, મોબાઈલ ચાર્જર અને જરૂરી દવાઓ હતી, પરંતુ તેમાં મુસાફરની ઓળખ સંબંધિત કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી. ત્યારે આ રેલકર્મી દ્વારા બેગમાં રહેલા કપડાંની તપાસ કરી, જેમાં એક શર્ટ પર જેટપુર સિટીના એક દરજીની દુકાનનો સ્ટિકર મળ્યો હતો.બીજા જ દિવસે તેમણે ઇન્ટરનેટ દ્વારા દુકાનનું સરનામું શોધ્યું અને સંપર્ક નંબર ઉપલબ્ધ ન હોવાથી તેમણે પોતાના ઓળખીતાને જેટપુર મોકલી દરજી પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભમાં દરજીને ગ્રાહક યાદ નહોતો, છતાં તેમણે દરજી પાસેથી કપડાંના સાઇઝના આધારે છેલ્લા એક મહિનાના ગ્રાહકોની યાદી મેળવી અને તમામ સંભવિત ગ્રાહકોનો સંપર્ક કરાવ્યો હતો.રેલકર્મોની આ સતત અને બુદ્ધિપૂર્વકની પહેલના પરિણામે સંબંધિત મુસાફરનો પતો લગાવવામાં સફળતા મળી અને તેમનો સામાન સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો હતો. રેલકર્મી કપડાં સિવેલ દરજીના સ્ટીકર પરથી મૂળ માલિકને શોધ્યો રેલકર્મી દ્વારા બેગમાં તપાસ કરતા કોઈ દસ્તાવેજ મળ્યા ન હતા પરંતુ બેગમાં રહેલ કપડાંમાં દરજી દ્વારા સિવવામાં આવ્યા હોવાથી તેમનું સ્ટીકર હતું જેથી કર્મીએ સબંધીને દરજી પાસે મોકલી અને કપડાંની સાઈઝ આધારે મૂળ માલિકને શોધી કાઢ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે પ્લેટફોર્મ અપાયું:ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું

માધવપુર મેળાનાં હસ્તકલા હાર્ટમાં ઉત્તર પૂર્વીય રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનું કારીગરોએ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે આ પ્લેટફોર્મ અપાયું હતું. આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ સહિત રાજ્યનાં કારીગરોએ હસ્તકલા હાટમાં હાથ વણાટની વસ્તુઓનાં માધ્યમથી પોતાની સંસ્કૃતિ ઉજાગર કરવાની સાથે આજીવિકા મેળવી હતી.હ ્તકલા હાટમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારતની ઝલક જોવા મળી હતી. આ હાટમાં આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. વાસ અને લાકડાની કળા, પરંપરાગત આભૂષણો, હસ્તનિર્મિત કપડાંને સ્થાનિક કલાને મુલાકાતીઓએ બિરદાવી હતી. ચાર વર્ષથી મધવપુરના મેળામાં હસ્તકલાની વસ્તુ વેચવા આવતા આસામના બિનય ક્રિષ્નાભાઈએ પોતાના પૂર્વજોની આ પરંપરા જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, મારા પૂર્વજો વૃક્ષોની છાલ માંથી ચાદર બનાવવાનું કામ કરતા હતા. આ પરંપરાને મેં આગળ ધપાવી તેમાં અપડેટ કર્યું છે. હું વૃક્ષોની છાલ માંથી પર્સ, ડાઇનિંગ ટેબલના સેટ, સોફાના કવર સહિત વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરું છું. આ વસ્તુઓના વેચાણ માટે સરકાર દ્વારા બિનયભાઈને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. ત્રિપુરાના છાલમાંથી જ્વેલરી બોક્સ અને મણિપુરથી કાનના ઝૂમખા લોકોમાં આકર્ષણ ત્રિપુરાના જંગલોનાં સૂકા લાકડા અને છાલમાંથી જ્વેલરી બોક્સ હેન્ડલુમ વાંસની બનાવટ, આસામ, મણિપુર, સહિત વિસ્તારોની સ્થાનિક લોકકલા, લોક સંસ્કૃતિ, લોકગીતોને હાથ કારીગરીમાં વણી શો પીસ બનાવી તેનું વેચાણ કર્યું હતું. મણિપુરથી કાનના ઝૂમખા, જંગલનાં સૂકા ફ્રૂટ, અલગ અલગ ટ્રાઈબ્સને પ્રસ્તુત કરતી વિવિધ મોતીઓની બનાવેલી માળાઓ, મહેમાનોના સ્વાગત માટેનાં ખેસ, કોટી, ટોપી, શાલ વગેરે હાથ બનાવટની વસ્તુઓ સાથે આવેલા કેથીન સોપનબીનની હાથ વણાટની વસ્તુઓએ માધવપુરના મેળામાં આકર્ષણ જમાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહમાં જામી ભક્તોની ભીડ:માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળી‎લોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની કન્યાદાન કર્યું‎

આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા ફરી વિદર્ભની કુંવરી માતા રૂક્ષ્મણી સાથે વિવાહ સંપન્ન કર્યા ત્યારે ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. શ્રીકૃષ્ણ યુગમાં ભગવાન જયારે વિદર્ભ પ્રદેશમાંથી માતા રૂમણીજીનું હરણ કરી આજના માધવપુર ગામે આવ્યા તે માધવપુર ગામ સહિત સમગ્ર સરઠ પ્રદેશ ત્યારે દ્વારકા રાજયનો જ ભાગ હતો અને તેથી જ ભગવાન માતાજીનું હરણ કરી પોતાના પ્રદેશમાં આવ્યા હતા. તેની યાદમાં ઉજવાતા આ લગ્ન મેળામાં આ વર્ષે માતાજીનું મામેરૂ કડછના કડછાઓએ પુર્યું હતું તેમજ ઘેડના મહાવદીયા કોળી લોકોએ ભાઇ બની જવતલ માવતર બની કન્યાદાન કર્યું અને લોએજના બ્રાહ્મણોએ ફુલગોરે વેદમંત્રો વાંચી ગોત્રોચાર કરી ભગવાન શ્રીકૃષ્ણ અને માતાજીના વિવાહ સંપન્ન કરાવ્યા હતા. ભગવાનના રથને દોડાવવામાં આવ્યોમાધવપુરના માધવરાયજીના મંદિરેથી ભગવાનની જાન આજે જયારે માતા રૂક્ષ્મણીજીના મંદિરે પરણવા નીકળી ત્યારે વાજતે ગાજતે માનવમેદનીની વચ્ચે રથ મંથર ગતિએ મેળાના ગ્રાઉન્ડ સુધી પહોંચ્યો હતો અને અહીંથી પરંપરા મુજબ હરણ કરીને આવ્યા તેવી ઝડપથી રથને રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચાડવા માટે દોડાવવામાં આવ્યો હતો. આ રથ દોડે તે પહેલા મેળા ગ્રાઉન્ડમાં ઉભરાઈ રહેલું ચિક્કાર માનવ મહેરામણ રીતસરના 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું અને રથને ભાગવા માટેનો રસ્તો ખાલી કરી દીધો હતો. ભગવાન પરણવા નિકળ્યા ત્યારે ગાર્ડ ઓફ ઓનર અપાયું માધવપુરમાં યોજાતા લગ્નમેળામાં આઝાદી પહેલા થી જ ભગવાન જ્યારે પરણવા નીકળતા ત્યારે રાજ્યના સૈનિકો તેને સલામી આપતા હતા અને પરંપરાના ભાગ સ્વરૂપે આજે પણ ભગવાન જ્યારે પરણવા નીકળે ત્યારે પોલીસદળ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

ફૂડ વિભાગની તવાઈ:માધવપુર મેળામાં ફૂડ વિભાગે 15 કિલો અખાદ્ય તેલનો નાશ કરી 225 તેલના સેમ્પલની સ્થળ પર તપાસ કરી

માધવપુર ખાતે રાષ્ટ્રીય મેળાનો પ્રારંભ થયો છે ત્યારે આ મેળામાં ફૂડ વિભાગની ટીમે 225 જેટલા તેલના સેમ્પલનું સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 15 કિલો અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ 32 ખાણીપીણીના વેપારીઓને ફૂડ રજિસ્ટ્રેશન કરી આપ્યા હતા. પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે 27 થી 30 માર્ચ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીજીના લગ્ન પ્રસંગે રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળા રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ કલાકારો અને ખાણીપીણીના વેપારીઓ પોતાના સ્ટોલ ઉપલબ્ધ કરે છે.ત્યારે પોરબંદરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ વિભાગ દ્વારા લોકમેળા સ્થળ પર જ 225 જેટલા ખાણીપીણી ચીજવસ્તુઓ બનાવતા તેલના સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 15 કિલો અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો તો ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ 32 જેટલા ખાણીપીણી વેપારીઓ ફૂડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. મેળા દરમ્યાન 25 અવેરનેસ કેમ્પ યોજયા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેંફટી વાહન મારફતે ફુડ સેંફટી અંગેના 25 જેટલા આવેરનેશ કેમ્પ કરવામાં આવ્યા હતા. તેમજ પોરબંદર જિલ્લા માં આવેલ હોટલ રેસ્ટોરન્ટના, મેળાની પૂર્વ કામગીરી ના ભાગ રૂપે, FOSCOS Portal પર ઓનલાઇન ઇન્સ્પેક્શન કરવામાં આવેલ જે અંતર્ગત કુલ 15 રેસ્ટોરન્ટ ની તપાસ કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

મેઘાલયનું ‘પીળા સોનું' પોરબંદરવાસીઓને પસંદ આવ્યું:દુનિયામાં માત્ર એક જગ્યાએ થતી સ્વાસ્થ્યવર્ધક ‎લાકા ડોંગ હળદરનું માધવપુરના મેળામાં વેચાણ‎

ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ હવે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના નેમને સાર્થક કરતો રાષ્ટ્રીય ફલક બની ગયો છે. માધવપુરના સમુદ્ર કિનારે ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિ અને કલાનો અનોખો સંગમ રચાયો છે. આ મેળામાં આ વખતે મેઘાલયના જયંતિયા હિલ્સની વિશ્વપ્રસિદ્ધ ‘લાકાડોંગ હળદરે’ લોકોનું સવિશેષ ધ્યાન ખેચ્યું હતું. પૂર્વના પહાડોમાં ઉગતી આ ઔષધીય હળદરની સુગંધ હવે માધવપુર ઘેડના મેળામાં મહેકી છે. માધવપુર ઘેડના મેળામાં આયોજિત હસ્તકલા પ્રદર્શનમાં મેઘાલયથી આવેલા ફાસમે બર્ન જણાવે છે કે, દુનિયામાં માત્ર મેઘાલયના જયંતિયા પહાડી વિસ્તારમાં જ લાકાડોંગ હળદરનું ઉત્પાદન થાય છે. આ હળદર તેના અદભૂત સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે વિશ્વભરમાં જાણીતી છે. સામાન્ય રીતે બજારમાં મળતી હળદરમાં કર્ક્યુમિન તત્વનું પ્રમાણ માત્ર 2 થી 3 ટકા હોય છે, જ્યારે લાકાડોંગ હળદરમાં આ પ્રમાણ 7 ટકાથી પણ વધુ જોવા મળે છે. આવી વિશેષતાઓના કારણે જી.આઈ. ટેગ પ્રાપ્ત થયો છે.મેળામાં પધારેલા ભાવિકો અને પ્રવાસીઓ આ હળદરના ગુણોથી પ્રભાવિત થઈને ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. કેન્સર, ત્વચાના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદરૂપ‎લાકાડોંગ હળદર ‘એન્ટી-ઈન્ફ્લેમેટરી’ હોવાથી શરીરમાં સોજા અને દુખાવા દૂર કરે છે. આ ઉપરાંત, તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણો કેન્સર અને ત્વચાના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે તથા કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે. આ પ્રદર્શનમાં હળદરની સાથે સાથે મેઘાલયના વિશિષ્ટ રીમેક ગ્રાસમાંથી બનાવવામાં આવેલી કલાત્મક વસ્તુઓનું પણ નિદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

રૂ. 1.10 કરોડના ખર્ચે થશે રતનપર બીચની કાયાપલટ:રૂ. 1.10 કરોડના ખર્ચે ગેઝીબો, લાઇટિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની સુવિધાઓ વિકસાવાશે

પોરબંદર શહેરમાં દરિયાકાંઠા વિસ્તારના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા રતનપર બીચના વિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે રૂ.1.10કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. પોરબંદર મનપા દ્વારા શહેરમાં આધારભૂત સુવિધાઓ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠા વિસ્તારોના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સીટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ, રતનપર વિસ્તારમાં આવેલ બીચને વિકાસ માટે પ્રથમ તબક્કામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 10 ગેઝીબો, સુવ્યવસ્થિત લાઇટિંગ સિસ્ટમ અને લેન્ડસ્કેપિંગના કામો હાથ ધરવામાં આવશે. ઉપરાંત, બીચ પર મનોરંજન અને રમતગમત માટે બીચ વોલીબોલ જેવી પ્રવૃત્તિઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ “જન્નત બીચ” તરીકે ઓળખાય છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બીચ પર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનશે જેથી આ વિસ્તારનો ઉપયોગ વધવાની સંભાવના સાથે પ્રવાસન ક્ષેત્રે પણ આકર્ષણ જન્માવશે તેવી મનપાએ આશા વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

મારામારીમાં 6 સામે નોંધાયો ગુનો:ઘર પાસે એઠવાડ નાખવા બાબતે બે પક્ષ વચ્ચે સામસામી મારામારી

પોરબંદરના છાંયા ગાંધી આશ્રમ પાછળ બંધ મકાન પાસે એક મહિલાએ એઠવાડ નાખ્યો હતો ત્યારે આ બાબતે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો. સામસામી ફરિયાદ થતા પોલીસે બંને પક્ષે મહિલાઓ સહિત 6 શખ્સ સામે ગુન્હો નોંધાયો છે. પોરબંદરના છાંયા ગાંધી આશ્રમ પાછળ રહેતા ભરમીબેન મુરુભાઈ જેઠવા નામના મહિલાએ પોતાના મકાનની શેરીના નાકે આવેલ બંધ મકાન પાસે એઠવાડ નાખ્યો હતો ત્યારે રાંભીબેન ભરત ઉલવા તથા તેની દિકરી મહિલા પાસે આવી મારા ઘર પાસે કેમ એઠવાડ નાખેલ છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ મોટા અવાજે ગાળો કાઢી હતી. રાંભીબેનની તેનીબંન્ને દિકરીઓએ મહિલાને પકડી રાખી લાકડીથી બે ઘા મારી, રાંભીબેનના પતિ સહિત ચારેય આરોપીઓએ મહિલાને ઢીકાપાટુનો માર મારી એટ્રોસીટીના કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપી હતી જ્યારે સામાપક્ષે પણ રાંભીબેન ભરત ઉલવાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ પોતાના ઘર પાસે જતા હોય ત્યારે ભરમીબેન એઠવાડની ડોલ ભરમીબેનના ના ઘર પાસે રાખતા ગાયો તથા ખુટીયા ત્યા ભેગા થતાહતા જેથી ગાયો તથા ખુટીયાને ભગાડી ડોલ લઇ લેવાનુ કહી ડોલ હટાવવા જતા ત્યારે ઝઘડો કરી માથાના ભાગે મારવા જતા માર માર્યો હતો. ભરમીબેન તથા તેમના પતિ અને દીકરો મિલન મહિલાને ગાળો કાઢી ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી મહિલાઓ સહિત કુલ 6 શખ્સ સામે ગુન્હો નોંધી આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

વહીવટી તંત્રની લાલીયાવાડી સામે આવી:MBA સેમે-3ની પરીક્ષામાં પ્રોફેસરે 3 માસ સુધી પેપર દબાવી રાખતાં પરિણામ અટક્યું

ભાસ્કર ન્યૂઝ| પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સુધારા અને ‘કોમન એક્ટ’ની મોટી વાતો વચ્ચે વહીવટી તંત્રની લાલીયાવાડી સામે આવી છે. ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થયેલી એમબીએ સેમેસ્ટર-3ની પરીક્ષાના 90 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ બન્યું હતું. આ મામલે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા અહેવાલ પ્રકાશિત કરાતા યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ પરીક્ષા વિભાગને આપ્યા છે. નિયમ મુજબ પરીક્ષાના 15 દિવસમાં મૂલ્યાંકન અને 30 દિવસમાં પરિણામ આપવાનું હોય છે. જોકે, માત્ર 69 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ 29 ડિસેમ્બરે સોંપાઈ હોવા છતાં હજુ સુધી પરીક્ષા વિભાગમાં પરત આવી નથી. એક તરફ સેમેસ્ટર-4ની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ પાછલા સેમેસ્ટરનું પરિણામ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના આદેશ મુજબ, પરીક્ષા નિયામક દ્વારા તાત્કાલિક ધોરણે મૂલ્યાંકન પૂર્ણ કરી પરિણામ રજૂ કરવા સૂચના અપાઈ છે. આ સાથે જ, ત્રણ માસનો વિલંબ કરવા બદલ જવાબદાર પ્રોફેસરને‘કારણદર્શક નોટિસ’ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારે રજા હોવાથી બુધવારે નોટિસની બજવણી બાદ જે-તે પ્રોફેસરોના જવાબના આધારે યુનિવર્સિટી કડક શિક્ષાત્મક પગલાં ભરવા અંગે નિર્ણય લેશે.તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

પાટણની શાળામાં 50મો વાર્ષિકોત્સવ ઊજવાયો‎:રાજય અને પ્રદેશ કક્ષાએ સિધ્ધિ મેળવનારા 140 છાત્રોનું સન્માન

પાટણની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને વી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા 50મો વાર્ષિકોત્સવ, ઇનામ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, પ્રો. જય ધ્રુવ હાજર રહ્યા હતા. વર્ષ દરમિયાન રાજ્ય અને પ્રદેશ કક્ષાએ રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શાળાનું નામ રોશન કરનાર 140થી વધુ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. હાઇસ્કુલના ઈ. આચાર્ય ડૉ ઝુઝારસંગ સોઢાને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.આ ઉપરાંત Ph.D. પદવી મેળવનાર ડૉ. દાનેશ મોદી, NSS અને NCCમાં ઉમદા કામગીરી કરનાર ભાવેશભાઈ રાવળ અને પ્રશાંતભાઈ પટેલ સહિતના શિક્ષકોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. દાનેશ મોદીએ કર્યું હતું અને સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોરે આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

ઉ.ગુ. યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ:પરીક્ષામાં મહેસાણામાં સૌથી વધુ 35 છાત્રો, બનાસકાંઠામાં એક વિદ્યાર્થી સામે કોપી કેસ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સોમવારથી વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.જેમાં મહેસાણાામાં 35 વિદ્યાર્થી અને બનાસકાંઠામાં એક વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતાં પકડાયાં હતા. પરીક્ષાના પ્રથમ દિવસે જ પારદર્શિત પરીક્ષા યોજાય માટે યુનિવર્સિટી માંથી થઈ રહેલા સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન કો-ઓર્ડીનેટર દ્વારા 10 પુરુષ અને 6 મહિલા પ્રોફેસરોની ફ્લાઈંગ સ્કોર્ડ ટીમને ઉત્તર ગુજરાતમાં દોડતી કરવામાં આવી હતી, જેણે વિવિધ સેન્ટરો પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. મહેસાણામાં 35 અને બનાસકાંઠા જિલ્લામાં 1 કોપી કેસ નોંધાયા હતા. યુનિવર્સિટીની તપાસ ટીમોએ જ્યારે મહેસાણાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર દરોડા પાડ્યા ત્યારે મોટા પાયે ગેરરીતિ સામે આવી હતી. અહીં એક જ દિવસમાં સૌથી વધુ 35 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સાહિત્ય અને ચબરખીઓ સાથે ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા. આ સિવાય બનાસકાંઠાની એક કોલેજમાં પણ 1 વિદ્યાર્થી કોપી કેસમાં પકડાયો છે. પકડાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના નિયમ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.30 માર્ચથી સ્નાતક સેમેસ્ટર-6 અને અનુસ્નાતક સેમેસ્ટર-4ની પરીક્ષાઓ શરૂ થવા પામી છે.જેમાં અંદાજે 50000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વખતની પરીક્ષાની સૌથી મોટી વિશેષતા એ રહી કે યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત 6 સ્પેશિયલ મહિલા ફ્લાઈંગ સ્ક્વોડ મેદાનમાં ઉતારવામાં આવી છે.મહિલા પ્રોફેસરોની બનેલી આ ટીમોએ ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સઘન તપાસ કરી હતી. તમામ ટીમોનું સીધું મોનિટરિંગ સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

જૈનમુનિએ પ્રભુ મહાવીરનો મહિમા વર્ણવ્યો‎:30 વર્ષે રાજસુખ,વૈભવનો ત્યાગ કરી દીક્ષા લીધી‎

આજે જ્યારે વિશ્વ અશાંતિ, હિંસા અને માનસિક તણાવથી ઘેરાયેલું છે, ત્યારે 24 મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતો એક શીતળ છાયડો બનીને ઉભરે છે.ઇ.સ. પૂર્વે 599 માં કુંડલપુરના રાજવી પરિવારમાં જન્મેલા ''વર્ધમાન''નો પ્રભાવ માત્ર જૈન ધર્મ પૂરતો સીમિત નથી, પરંતુ તેમનું જીવન મેનેજમેન્ટ, પર્યાવરણ રક્ષા અને માનવતાવાદનો ઉત્કૃષ્ટ નમૂનો છે. શંખેશ્વર મહાતીર્થના પ.પૂ. મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ જણાવે છે કે, પ્રભુએ શીખવ્યું છે કે સાચું સુખ બહારની વસ્તુઓમાં નહીં પણ આત્માની અંદર છે. રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના પુત્ર વર્ધમાનના જન્મ સમયે રાજ્યમાં સુખ-સમૃદ્ધિમાં અનેકગણો વધારો થયો હતો. બાળપણથી જ નિર્ભય અને શાંત પ્રકૃતિના વર્ધમાને 30 વર્ષની યુવાન વયે જ્યારે લોકો સત્તા પાછળ દોડે છે, ત્યારે તેમણે રાજસુખ અને વૈભવનો ત્યાગ કરી દીક્ષા લીધી.12 વર્ષની કઠોર તપસ્યા દરમિયાન અનેક કષ્ટો પડ્યા, પણ તેઓ ક્યારેય ક્રોધિત ન થયા. કાનમાં ખીલા ઠોકાયા હોય કે ચંડકૌશિક સર્પે દંશ દીધો હોય, તેમણે દરેક જીવ પ્રત્યે કરુણા જ વર્ષાવી, માટે જ તેઓ ''મહાવીર'' કહેવાયા હતા. તેમણે 2600 વર્ષ પહેલાં કહ્યું હતું કે ''પ્રત્યેક જીવ સમાન છે''. વૃક્ષો, પાણી અને પૃથ્વીમાં પણ જીવ છે તેવું કહીને તેમણે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો સંદેશ આપ્યો હતો.72 વર્ષે પાવાપુરીમાં જ્યારે તેઓ નિર્વાણ પામ્યા, ત્યારે અંધકારને દૂર કરવા લોકોએ દીવા પ્રગટાવ્યા, જે દિવસને જૈનધર્મ ''દિવાળી'' તરીકે ઉજવે છે. આજે શંખેશ્વર તીર્થમાં આ કાર્યક્રમ થશે

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાટણમાં નવું બસપોર્ટ શરૂ, રોંગ સાઈડ વાહનોથી ST બસો અટકી‎

પાટણમાં નવનિર્મિત આધુનિક બસપોર્ટ શરૂ થતાં જ ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ સામે આવી ગઈ છે. પહેલા જ દિવસે બસ રૂટ પર વન-વે હોવા છતાં રોંગ સાઈડ વાહનો ઘૂસતા અને આડેધડ પાર્કિંગને કારણે ST બસો અટકી ગઈ હતી,જેના કારણે શહેરમાં દિવસભર ટ્રાફિક જામ અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. જાહેરનામનો ભંગ કરી વાહનચાલકો બિન્દાસ વાહનો લઈ અવરજવર કરતા રહ્યા.TRB જવાને રોક્યા છતાં ઊભા ન રહ્યા.આથી અકસ્માતી ભીતિ સેવાઈ રહી છે. આદર્શ રોડ પર વન-વે હોવા છતાં મહિલા ચાલકે પોલીસના રોકવા છતાં મનમાની કરી રોંગ સાઈડમાં વાહન હંકારી મૂક્યું. બ્રિજના છેડે સાંકડા વળાંક પર એસટી બસ વળી રહી હતી ત્યારે જ સામેથી ધસી આવેલા વાહનો, અકસ્માત થતા રહી ગયો.બસ ડ્રાઈવર જાનના જોખમે એસ ટી બસ ચલાવી રહ્યા છે. નિરાકરણ:જાહેરનામાનો કડક અમલ કરોનો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છતાં રૂટ ઉપર આજે પણ બેફામ પાર્કિંગ અને વાહનો રોંગ સાઈડમાં દોડી રહ્યા છે. પોલીસે તાત્કાલિક જાહેર નામાંનું અમલીકરણ કરવા પેટ્રોલિંગ કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા પડશે.સાથે રસ્તાઓ ઉપર લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા અડચણ રૂપ વાહન અને નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે ઈ-મેમોની કડક અમલવારી નહીં થાય, ત્યાં સુધી માર્ગો પર બસનું સંચાલન જોખમી જ રહેશે. - ડ્રાઈવર ડ્રાઈવરની વ્યથા : વળાંકમાં અકસ્માત થશે‎તો દોષનો ટોપલો અમારા પર જ ઢોળાશે‎ ‎મેં આજે દિવસના 4 રાઉન્ડ લગાવ્યા, પણ દર‎‎વખતે જીવ અધ્ધર થઈ જાય છે. સિટીમાં‎‎પ્રવેશતા જ આડેધડ બાઇક રીક્ષાનું પાર્કિંગ નડે‎‎છે. ખાસ કરીને આદર્શ રોડના બ્રિજ પાસે‎‎વળાંક એટલો સાંકડો છે કે સામેથી રોંગ‎‎સાઈડમાં વાહન આવે ત્યારે બસ કંટ્રોલ કરવી‎‎મુશ્કેલ બને છે. જો કોઈ ભટકાશે તો‎જવાબદાર મોટા વાહનના ડ્રાઈવર તરીકે અમને જ ગણવામાં આવશે,‎પણ આ રોંગ સાઈડ આવનારાઓનું શું? નરેન્દ્રભાઈ રબારી,બસ ડ્રાઈવર‎

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

વેધર રિપોર્ટ:ઉત્તર ગુજ. માં પશ્ચિમી પવનો ધીમા પડતાં વરસાદ ખેંચાયો

ઉત્તર ગુજરાતમાં પશ્ચિમી પવનો ધીમા પડતાં સોમવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે, 2 અને 3 એપ્રિલે ફરી પવનનું જોર વધતાં મહેસાણા સહિત ચાર જિલ્લામાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સરેરાશ 13-14 કિમી કલાકની ઝડપે ફૂંકાતા પવનો સોમવારે ઘટીને 8 કિમી થઇ ગયા હતા. વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. ત્યાર બાદ દિવસ કોરોધાકોર રહ્યો હતો. આ સ્થિતિ વચ્ચે રાતનું તાપમાન પોણા ડિગ્રી વધીને 24.5 થી 24.8 ડિગ્રી વચ્ચે, જ્યારે દિવસનું તાપમાન 35 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું. જોકે, હવામાં ભેજનું પ્રમાણ વધતાં 37 ડિગ્રી જેવી ગરમી સાથે ઉકળાટ અનુભવાયો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ, 31 માર્ચ અને 1 એપ્રિલે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે છે. બીજી તરફ, 2 અને 3 એપ્રિલે પશ્ચિમી પવનો ફરી મજબૂત બનતાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.વરસાદની આગાહીને પગલે ખેડૂતો પાક ઘરે લઈ જવાની મથામણ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

આંબલિયાસણના યુવકે તંત્રને દોડતું કર્યું‎:અપૂરતી માહિતી મળતાં યુવકે પંચાયત ઘરને તાળું મારી દીધું

મહેસાણા તાલુકાના આંબલિયાસણના મકવાણા કલ્પેશભાઈ તુલસીભાઈએ 5 વર્ષથી ગામના નાણાપંચના હિસાબ, દબાણ સહિત બાબતે ગ્રામ પંચાયતમાં અરજીઓ કરીને માહિતી માંગી હતી. તંત્ર દ્વારા આ અરજીઓની અપૂરતી માહિતી આપવામાં આવતાં યુવકે સોમવારે સવારે પંચાયત ઘરના દરવાજે સાંકળ લગાવીને તાળું મારી દીધું હતું. તલાટી સ્મૃતિબેન સક્સેનાએ જણાવ્યું કે, ગામની અનેક બાબતો પર અરજી કરીને માહિતી માગવામાં આવી રહી છે. જેમાં 200 જેટલા પેજ હોવાથી પંચાયતમાં આવીને જે માહિતી જોઈએ તે લેવા માટે અરજદારને લેખિતમાં જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

ફૂડ વિભાગની તવાઈ:ફૂડ વિભાગે શહેરની 5 હોટલોમાંથી પનીરના નમૂના લઇ લેબમાં મોકલ્યા

મહેસાણા ફૂડ વિભાગે શહેરની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટોમાં રેડ કરીને પનીરની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં 5 હોટલ- રેસ્ટોરન્ટમાં શંકાસ્પદ લાગતાં પનીરના એક-એક કિલોગ્રામ પેકિંગના નમૂના લઇ, તેને વધુ પરીક્ષણ અને ગુણવત્તાની ખાતરી કરવા માટે લેબમાં મોકલી અપાયા છે. ખાવા-પીવાની જગ્યાઓ પર વપરાતા પનીર ખાવાલાયક છે કે નહીં તે અંગે ચકાસણી કરવા આ કાર્યવાહી કરાઇ હતી. ટીમે વિવિધ સ્થળોએ પનીરના સ્ટોક, બ્રાન્ડ અને સંગ્રહ પદ્ધતિની તપાસ કરી હતી. ફૂડ વિભાગના સૂત્રોએ કહ્યું કે, લેબ રિપોર્ટ આવ્યા બાદ પનીરની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે. જો નમૂના ધોરણ મુજબ ન હોય તો સંબંધિત હોટલ-રેસ્ટોરન્ટ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ પાંચ સ્થળેથી નમૂના લેવાયા1.નીલકંઠ રેસ્ટોરન્ટ રાધનપુર રોડ : મિલ્કે મલાઈ પનીર 2. ક્રેઝી ફૂડ્સ- કાકે દી હટ્ટી : ગોપી મલાઈ પનીર 3. કાલિકા ફુડ્સ હાઈવે : મિલ્કુ મલાઈ પનીર4. ખોડીયાર કાઠીયાવાડી ઢાબા નાગલપુર હાઇવે : અમૂલ મલાઈ પનીર5. હોટલ ખોડલ અમદા.હાઈવે : મારૂતી લો ફેટ પનીર

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:શહેરની 31 સોસાયટીઓના 2,068 મતદારોને હવે મૂળ વોર્ડમાં જ મૂકાશે

મહેસાણા મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી સામે કુલ 32 વાંધા નોંધાયા હતા. જેમાંથી 23 વાંધા વોર્ડ ફેરફાર સંબંધિત હતા અને 9 વાંધા એવા હતા જેમાં મતદારોના નામ મહેસાણા અને બહુચરાજી વિધાનસભા વચ્ચેના વોર્ડમાં અરસપરસ બદલાયા હતા. વોર્ડ ફેરફાર સંબંધિત 23 વાંધામાંથી 17 વાંધા મંજૂર અથવા આંશિક મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે 6 વાંધા નામંજૂર કરવામાં આવ્યા છે. મંજૂર- આંશિક મંજૂર વાંધાઓ હેઠળ 31 સોસાયટીના કુલ 2068 મતદારોના નામ અન્ય વોર્ડમાંથી કમી કરીને હવે વોર્ડ રચના મુજબ યોગ્ય વોર્ડની મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. વાંધા-સૂચનોની ચકાસણી બાદ વોર્ડ રચના મુજબ જરૂરી સુધારા કરવાની કાર્યવાહી સોમવાર સાંજ સુધી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નં.7માંથી 8માં અને 5માંથી 6માં ફેરફારવોર્ડ નં.7માંથી મહાશક્તિ સોસાયટીના 30 મતદારોને હવે વોર્ડ નં.8માં દર્શાવશે. વોર્ડ નં.5માંથી આ મતદારોને વોર્ડ નં.6માં સામેલ કરાશે : વીરમાયા (50 મતદારો), વૈકુંઠનગર (92), હરીઓમ (99), ડી.વી. પાર્ક (41), આદ્યશક્તિ (41), પૂજાપાર્ક (41), રાજવી ફ્લેટ (86), સાઇરામ બંગ્લોઝ (9) અને સોનલ ફ્લેટ (117). આ સોસા. તેમના મૂળ વોર્ડની યાદીમાં સમાવાશે‎ઓમ બંગ્લોઝ (71 મતદારો) વોર્ડ નં.11, આલાયમ મધુવન (69)‎વોર્ડ નં.1, ત્રિવેણી (32) વોર્ડ નં.11, રામલખન ફ્લેટ (34) વોર્ડ‎નં.11, ઉમિયાનગર સોસાયટી (5) વોર્ડ નં.1, જ્યોતિનગર (230)‎વોર્ડ નં.12, શ્રીનાથજી રોયલ બંગ્લોઝ અને ફ્લેટ (98) વોર્ડ નં.12,‎મંગલમૂર્તિ (154) અને ઉમિયાનગર (171) વોર્ડ નં.12.‎ દેલાનગર (43 મતદારો), શુભલક્ષ્મી (110), જય ચામુંડા (54) અને સિદ્ધેશ્વરી સોસાયટી (165)ના મતદારો હવે વોર્ડ નં.4માંથી વોર્ડ નં.3માં સામેલ. જ્યારે સવિનય સોસાયટીના 68 મતદારો વોર્ડ નં.3માંથી વોર્ડ નં.4માં સામેલ. સાનિધ્ય વિલા સોસાયટીના 37 મતદારો હવે વોર્ડ નં.4માંથી વોર્ડ નં.5માં સામેલ.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

આજે મહાવીર જયંતી:જૈન શાસ્રોમાં આર્યોના 25 પ્રદેશ પૈકી વઢવાણનો નવમાં દેશ તરીકે ઉલ્લેખ‎

અશ્વાર રાજદિપસિંહ જૈન ધર્મના 24મા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક ઉજવાશે. વઢવાણ સાથે પ્રભુ મહાવીર સ્વામીનો અનેરો નાતો છે. વિચરણ સમયે પ્રભુ દેદાદરા ગામે આવ્યા હતા. તે સમયે વઢવાણ સમયે અસ્થીગ્રામ તરીકે ઓળખાતું હતું. ઐતિહાસિક વઢવાણ શહેર સાહિત્ય સાધનાનું કેન્દ્ર હતું. જૈન ધર્મના અનેક આચાર્યોએ આ ધરતી પર સાહિત્ય સાધના કરીને ધાર્મિક ગ્રંથોની રચના કરી છે. સોલંકીકાળમાં દિગંબર જૈન સંપ્રદાયનું મુખ્ય મથક હતું. ઈ.સ.783માં દિગંબર જીનસેન સૂરીજીએ વઢવાણના ચૈત્યોમાં હરિવંશપુરાણ નામે જૈનપુરાણની રચના કરી હતી. આચાર્ય દેવસૂરીજીએ સંવત 1254માં વઢવાણમાં પઉમ ચરિય નામના ગ્રંથની રચના કરી હતી. વઢવાણ શહેરની વિકાસોન્મુખ સ્થિરતા, શાંતિ, પવિત્રતા, સમૃધ્ધિ, સંસ્કારીતા અને સામાજીક એકતામાં જૈન ધર્મ અને જૈન શ્રાવકોનું અમૂલ્ય યોગદાન છે. જૈન શાસ્ત્રોમાં આર્યોના 25 1/2 દેશ ગણાવેલા છે. એ મુજબ આ પ્રદેશ નવમો હતો. બાદમાં વર્ધમાનપુરમાંથી અપભ્રંશ થઇ આજે વઢવાણ થયું છે. વઢવાણ ભોગાવા નદીમાં આજે પણ મહાવીર સ્વામીની દેરીમાં પ્રભુના પગલા મોજૂદ છે. અસ્થીગ્રામથી વર્ધામાનપુરી સુધીની યાત્રાએક નગરશેઠ 500 બળદગાડા સાથે ભોગાવા નદીમાં ફસાતા એક બળદને વાચા ફૂટી. તેણે નગરશેઠનો કહ્યું કે, તમે ચિંતા ન કરો હું તમામ ગાડા બહાર કાઢીશ. અને તમામ ગાડા પણ બહાર કાઢયા બાદ બળદ થાકી ગયો. આથી નગરશેઠે ધ્યાને રાખવાનું કહીં લોકોને ઘન-ઘાન્ય આપ્યું હતું. પરંતુ નગરશેઠના ગયા બાદ લોકો જતાં રહેતાં બળદ મૃત્યુ પામીને શુલપાણી યક્ષ બન્યો. ગામના લોકોએ કપટ કરી હોવાથી મરકી નામનો રોગ મૂક્યો. તે સમયે ભોગાવા નદીમાં હાડકાના ઢગલા થઈ ગયા હતા. પ્રભુ મહાવીર વિચરણ કરતા અસ્થીગામ પહોંચ્યા ત્યારે યક્ષે તેઓને 27 જાતના અલગ-અલગ ઉપસર્ગ આપ્યા હતા. પ્રભુએ યક્ષનો ઉધ્ધાર કર્યો હતો. ત્યારથી અસ્થીગ્રામ તરીકે ઓળખાતું શહેર વર્ધમાનપુરી તરીકે ઓળખાયું હતું. જે હાલ અપભંશ થઈને વઢવાણ થયું છે. વઢવાણમાં રચાયેલા જૈન સાહિત્યના ગ્રંથો જેસલમેરમાં સુરક્ષિત રાખવામાં આવ્યાવઢવાણ આધ્યાત્મીક કેન્દ્રો ઉપર જૈનાચાર્યોએ સાહિત્યનું સર્જન કરાયું હતું. મંદિરો ઉપર આક્રમણ થયા હતા તેમાં સંગ્રહીત સાહિત્યનો નાશ કરવાની પ્રવૃતિએ વેગ પકડતા અમૂલ્ય જૈનસાહિત્યને સાચવવા અને સુરક્ષીત રાખવા માટે જૈનાચાર્યોએ જેસલમેર (રાજસ્થાન)ની પસંદગી કરી ગાઉના ગાઉ સુધી રેતીના ઢગ અને મેદાનો વચ્ચે જેસલમેરમાં વઢવાણ ઉપરાંત પાટણ, ખંભાત, ભરૂચ, વડનગરથી જૈન સાહિત્ય ગ્રંથો લાવીને સુરક્ષીત રાખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

ચકચાર:ચુડા SBIના 30 ગ્રાહકોની જાણ બહાર ખાતામાંથી પૈસા ઉપડી ગયા

ચુડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચના 30થી વધુ ગ્રાહકોની જાણ બહાર ખાતામાંથી રૂપિયાની ઉઠાંતરી થયાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. છેલ્લા 15 દિવસમાં એસબીઆઈ બેંકના અનેક ગ્રાહકો ફ્રોડનો શિકાર લાખો રૂપિયા ગુમાવતાં ચકચાર મચી જવા પામી છે. ગ્રાહકો બેંકમાં જઈ લેખિત રજૂઆત કરી ફરિયાદ કરી રહ્યા છે છતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા કોઈ એક્શન નહીં લેવાતાં અન્ય ગ્રાહકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બની રહ્યા છે. એસબીઆઈના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધોરણે એક્શન પ્લાન ઘડી ઓનલાઈન ફ્રોડ બંધ કરાવી ગ્રાહકોએ ગુમાવેલી રકમ પરત કરે તેવી માંગ ઉઠી છે. ચુડા એસબીઆઈના મેનેજરે જણાવ્યું કે, ગ્રાહકોના બાયોમેટ્રિક ડેટા ચોરાઈ રહ્યા છે મારી સિવાય ઈશ્વરભાઈ લકુમ, નટવરભાઈ લકુમ, હિરાભાઈ ચાવડા સહિત અનેક એસબી આઈના ગ્રાહકોના એઈએસપી દ્વારા રૂપિયા ઉપાડી ગયા છે. અમે બધાએ બેંકમાં લેખિત ફરિયાદ કરી છે. રૂપિયા ઉપાડી જાય એનો મેસેજ પણ આવતો નથી. મારુ મેઈલ આઈડી બેન્કમાં કનેક્ટ છે જેથી મેઈલમાં મેસેજ આવ્યો કે એઈપીએસ દ્વારા મારા 20000 ઉપડી ગયાનો ખ્યાલ આવ્યો હતો. એઈપીએસ એટલે મોંઢાના ફોટા પરથી પૈસા ઉપાડી જાય છે. ગ્રાહકોના મોઢાનો ડેટા કાં તો બેન્ક પાસે હોય કાં એમના ગ્રાહક કેન્દ્ર પાસે હોય છે.‌ ગ્રાહકોનો ડેટા ચોરાઈ ગયો છે જેના લીધે ઓનલાઈન ફ્રોડ થઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

સારવાર:મા તે મા... સુરેન્દ્રનગરની મહિલાએ 4 વર્ષથી પીડા ભોગવતા પુત્રને પોતાની કિડની આપી

વિપુલ જોશી આપણે સૌ કહીએ છીએ કે માતાની મમતાને કોઇ નથી પહોંચી શકતું. સંતાનોની ખુશી માટે માતા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતી હોવાના અનેક કિસ્સાઓ છે. ત્યારે આવી જ જેને વંદન કરવાનું મન થાય તેવી સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતી માતાએ કિડનીની બીમારીની પથારીએ પડેલા પોતાના દીકરાને ઉભો કરવા માટે માતાએ પોતાની કિડનીનું દાન આપી સાબિત કરી આપ્યુ કે માની મમતાની તોલે કોઇ ન આવે. સુરેન્દ્રનગરના રતનપરમાં સચીન પ્રવિણભાઇ અને માતા કમુબેન વેગડનો પરિવાર રહે છે. પરિવારમાં 2 દીકરા છે. ખેતીવાડીનો વ્યવસાય કરીને પરિવાર આનંદ કિલ્લોલ કરતો રહેતો હતો. પરિવારે મોટા દીકરા સચીનના ધામધૂમથી લગ્ન કર્યા અને તેના ઘરે પણ 8 માસની દીકરી છે. પરંતુ લગ્નના 6 મહિના બાદ સચીનની તબીયત ખરાબ થવા લાગી શરીરે સોજા અને 15 ડગલા ચાલતા થાક લાગી જતો હતો. દીકરાને આવી મરણ પથારીએ કેવી રીતે જોઇ શકુંદીકરાને સાજો કરવા માટે અમે એક પછી એક દવાખાને દોડ્યા હતા. અંતે ડોક્ટરોએ કહ્યું કે હવે કિડની ટ્રાન્ફર કરવાનો એક માત્ર ઉપાય છે. ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે ભગવાન કરે ને મારી કિડની મેચ થઇ જાય તો મારા દીકરાને હું જ કિડની આપીશ. ભગવાને જાણે મારી પ્રાર્થના સાંભળી લીધી મારી કિડની મેચ થઇ ગઇ અને મે કિડની આપી. અંતે તો હું મા છું, દીકરાને આવી મરણ પથારીએ કેવી રીતે જોઇ શકું. { કમુબેન વેગડા આઇસીયુમાં મને એકને જ રહેવાની પરવાનગી હતીસચિન અને હું એક જ વોર્ડમાં રહીએ છીએ. બંને સાથે ભાજપ પક્ષનું કામ કરતા કરતા ખાસ મિત્રો બની ગયા. ભાઇ જેવા ભાઇબંધ ઉપર આવી આફત આવી પડી ત્યારે હું મારું તમામ કામ મૂકીને તેની સાથે આઇસીયુમાં રહેતો. કારણ કે તેની સાથે સતત રહેવાને કારણે મારું શરીર અને તેનું શરીર મેચ થઇ ગયું હોય. આથી ચેપ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. આથી મિત્રને સાજો થતા જોઇ આંખમાંથી ખુશીના આંસુ સરી પડે છે.{ મિહિર શાહ, સચિનનો મિત્ર

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am

આદેશ:જિલ્લા પંચાયતમાં ટીડીઓ સહિત 16 અધિકારીની બદલી, 10 નાયબ ચીટનીસ, વિસ્તરણને પ્રમોશન

સુરેન્દ્રનગર જિલ્લામાં ટીડીઓની બદલી અને ખાસ કરીને નાયબ ચીટનીસ અને જે વિસ્તરણ અધિકારીઓના પ્રમોશન ડીયુ થઇ ગયા છે તેમને ઓર્ડરો આપવામાં આવશે તેવી વાત લાંબા સમયથી ચાલી રહી હતી. ત્યારે મંગળવારે સરકારે ગુજરાતમાંથી કુલ 118 ટીડીઓ સહિતના અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં સુરેન્દ્રનગરના કુલ 16 અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં 4 ટીડીઓની જિલ્લામાં જ બદલી કરાઈ છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ટીડીઓ, નાયબ ચીટનીસ અને વિસ્તરણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમાં ગીતાબેન સીરોયાની ટીડીઓ વઢવાણથી ટીડીઓ પડધરી, શ્વેતાબેન ત્રિવેદીની ટીડીઓ લખતરથી ટીડીઓ વઢવાણ, જગદિશભાઇ સોનીની સાયલા ટીડીઓથી આઇસીડીએસ પોરબંદર, સંજય ઉપલાણાની ટીડીઓ વડાલીથી ટીડીઓ દસાડા, સરજુ જેઠવાની ટીડીઓ ચોટીલાથી ચીટનીસ ગ્રામવિકાસ એજન્સી ગાંધીનગર, ભૌમિક ઠાકરની ટીડીઓ લીંબડીથી મદદનીસ પ્રયોજક અધિકારી, એસ.આઇ. ઝીંઝુવાડીયા નાયબ ચીટનીસથી ટીડીઓ બરવાળા, ડો. પી.એસ. આસોડીયાની વિસ્તરણ જિલ્લા પંચાયતથી ટીડીઓ અંબીકા, ભાવેશ ભાડેલીયાની નાયબ ચીટનીસથી ટીડીઓ લાઠી, પિયુષ પ્રમોશન માટે 3 વર્ષ રાહ જોઇ, હવે અઢી વર્ષની જ નોકરી બાકી જિલ્લામાં જે 10 નાયબ ચીટનીસ અને વિસ્તારણ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે તેઓ છેલ્લા 3 વર્ષથી પ્રમોસનની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ સરકાર તરફથી પ્રમોશન મળતું ન હતું. ત્યારે અત્યારે હવે તેમની અઢી વર્ષ જેટલી નોકરી બાકી રહી છે ત્યારે પ્રમોશન આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 4:00 am