વડોદરા શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીના માસીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી-ખાંસીની સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત એકાએક લથડી હતી, જે તેના મૃત્યુનું કારણ બની છે. વડોદરામાં પાંચ વર્ષીય બાળકી ધ્યાની ઠક્કર વડોદરા ખાતે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. ધ્યાનીએ ખૂબ જ નાની ઉંમરે તેના માતા અને પિતા બંનેને ગુમાવી દીધા હતા. માતા-પિતાની ગેરહાજરીમાં દાદા-દાદી અને અન્ય સંબંધીઓ જ તેની સંભાળ રાખતા હતા. આ માસૂમ બાળકી પરિવારના સભ્યો માટે વહાલી હતી. ધ્યાનીને સામાન્ય શરદી અને ખાંસીની તકલીફ થઈ હતી. આથી તેના પિતરાઈ કાકા નજીકના એક મેડિકલ સ્ટોર પરથી શરદી-ખાંસીની સિરપ લઈ આવ્યા હતા. બાળકીને આ સિરપ પીવડાવવામાં આવી હતી. પરંતુ થોડા જ સમયમાં તેની શારીરિક સ્થિતિ બગડવા લાગી હતી. તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ માસૂમ ધ્યાનીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવની જાણ થતા જ બાળકીના માસી અને અન્ય સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતક બાળકીના માસીએ રડતા રડતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે. દવાની આડઅસર છે કે અન્ય કોઈ કારણ, તે તપાસનો વિષય છે.” પરિવારે મેડિકલ સ્ટોરની દવાની ગુણવત્તા અને તેની અસર પર શંકા વ્યક્ત કરી છે અને ન્યાયની માંગણી કરી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા બી ડિવિઝનના એ.સી.પી. આર.ડી. કવા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમણે શોકતુર પરિવારની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચને એક દાયકાથી પોલીસને હંફાવતા બે અતિ મહત્વના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે 'એન માર્ટ' (N Mart) મોલ શરૂ કરી દેશભરમાં 800 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમખાનને પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ છેલ્લા 11 વર્ષથી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા. કેવી રીતે આચર્યું 800 કરોડનું કૌભાંડ?આરોપીઓએ અડાજણ વિસ્તારમાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી એન માર્ટ, ન્યુ લુક મલ્ટી ટ્રેડ અને ન્યુ લુક રિટેલ્સ જેવી કંપનીઓ ઊભી કરી હતી. મોલની ફ્રેન્ચાઈઝી આપવાના નામે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોના હજારો લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરવા લલચાવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગણા, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં કુલ 54 ગુના નોંધાયા છે. આરોપીઓની ક્રાઈમ પ્રોફાઈલ વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો છેલ્લો ગુનોઆરોપીઓ ભલે વર્ષોથી ભાગતા હતા, પરંતુ તેમની પાપની લીલા અટકી નહોતી. વર્ષ 2023માં સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો હતો. આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખરે આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તપાસમાં શું બહાર આવી શકે?પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે 11 વર્ષ સુધી આ આરોપીઓ કોના આશ્રય હેઠળ હતા અને 800 કરોડની મિલકતો ક્યાં છુપાવી છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે.
તેલંગાણામાં અંદાજે 500 શ્વાનોની સામૂહિક હત્યાની ઘટનાના વિરોધમાં ભાવનગરના જીવદયા પ્રેમીઓએ રૂપાણી સર્કલ ખાતે મૌન કેન્ડલ માર્ચ યોજી હતી. હાથમાં મીણબત્તીઓ લઈને નાગરિકોએ પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે અવાજ ઉઠાવ્યો અને આવી ઘટનાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી. મૌન કેન્ડલ માર્ચ યોજી પોતાનો વિરોધ નોંધાવ્યોતેલંગાણામાં તાજેતરમાં અંદાજે 500 જેટલા શ્વાનોની સામૂહિક હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર દેશભરમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં ભાવનગરના જાગૃત નાગરિકો અને જીવદયા પ્રેમીઓએ શહેરના રૂપાણી સર્કલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મૌન કેન્ડલ માર્ચ યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ હાથમાં મીણબત્તી લઈને પશુઓ પ્રત્યે થતી ક્રૂરતા સામે અવાજ ઉઠાવ્યો અને આવી ઘટનાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી. શ્વાનનો જીવનદીપ બુજાય જાય, એ અમને બિલકુલ માન્ય નથીનેચર કન્ઝર્વેશન સોસાયટી ઓફ ભાવનગર’ના પ્રતિનિધિ ડો. કિરણ શુક્લાએ જણાવ્યું હતું કે, તેલંગાણામાં એકી સાથે 500 સ્વાનોની જે હત્યા થઈ છે, તેના વિરોધમાં ભાવનગર વાસીઓ રુપાણી સર્કલ ખાતે એકઠા થયા છીએ અને સખ્ત રીતે અમે એનો વિરોધ કરીએ છીએ. સુપ્રિમકોર્ટે થોડાઘણા જે કોઈ પોતાના નિવેદનો બહાર પાડ્યા, એનાથી હું પોતે સ્ટ્રોંગલી ફિલ કરું છું કે આવી રીતની બધી જે ઘટના છે, એ વધતી ગઈ છે, જે બોવ જ ખરાબ છે. આ ખાલી સ્વાનોની મારી નાખવાની ઘટના નહીં, સ્વાનો ઉપર હુમલાઓ થાય છે. ડોગનું કામ કરતા હોય તેને ખૂબ હેરાન કરવામાં આવે છે. અમે સુપ્રીમ કોર્ટનો અનાદાર નથી કરતા, અમે વિન્નતી કરીએ છીએ કે શ્વાનનો જીવનદીપ બુજાય જાય, એ અમને બિલકુલ માન્ય નથી.
બોટાદના તુરખા ગામે થયેલી હત્યાના મામલે ત્રીજા દિવસે પણ મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કર્યો છે. મૃતકના પરિવારજનોએ તમામ આરોપીઓની ધરપકડની માંગ સાથે બોટાદ એસપી કચેરી સામે ધરણાં શરૂ કર્યા છે. પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી કેસના તમામ આરોપીઓ પકડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. હાલ મૃતક મહિલાનો મૃતદેહ ભાવનગર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. મૃતકના સમાજના આગેવાન કલ્પેશભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું કે, પરિવારે પાળીયાદ પોલીસ ઇન્સ્પેક્ટરની બેદરકારીનો આરોપ લગાવી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. જો આરોપીઓ પકડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મૃતદેહ સાથે ગાંધીનગરમાં મોટા કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના 15 જાન્યુઆરીના રોજ તુરખા ગામે બની હતી. આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે 13 નામજોગ અને 2 અજાણ્યા સહિત કુલ 15 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. અત્યાર સુધીમાં પોલીસે 15 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. જોકે, બાકીના આરોપીઓ હજુ ફરાર હોવાથી પરિવારજનોએ આંદોલન વધુ તેજ બનાવ્યું છે.
હળવદ તાલુકાના નવા સાપકડા ગામે પિતાએ ઠપકો આપતા 27 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાની હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની ઓળખ નરેશભાઈ અશોકભાઈ પરમાર (ઉંમર 27) તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, નરેશભાઈ કડિયા કામ પર ન ગયા હોવાથી તેમના પિતા અશોકભાઈ પરમારે તેમને ઠપકો આપ્યો હતો. આ બાબતનું લાગી આવતા નરેશભાઈએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના બાદ નરેશભાઈના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પિતા અશોકભાઈ પરમારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી એક ઘટનામાં, હળવદના નવા અમરાપર ગામની સીમમાં માળિયા બ્રાન્ચ કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. અંદાજે 45 થી 50 વર્ષની ઉંમરના આ યુવાનનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. આ મૃતદેહ ખીમજીભાઈ ધરમશીભાઈની વાડી સામેથી પસાર થતી કેનાલમાં તરતો જોવા મળ્યો હતો. નવા અમરાપરના સંજયભાઈ અદગામાએ આ અંગે હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. હાલમાં હળવદ પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.
અરવલ્લી જિલ્લાના સાયરા ગામની વતની અને લાંબા વાળ માટે 3 વખત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરનાર નિલાંશી પટેલે એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવનાત્મક નિર્ણય લીધો છે. વર્ષો સુધી પોતાની ઓળખ સમાન રહેલા લાંબા વાળને નિલાંશીએ કેન્સર સામે લડતા દર્દીઓ માટે દાનમાં આપ્યા છે. રેકોર્ડબ્રેક સફર અને મ્યુઝિયમમાં સ્થાનનિલાંશી પટેલે પોતાના અસાધારણ લાંબા વાળને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. તેમણે સળંગ 3 વાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા હતા. આ સિદ્ધિના કારણે જ અમેરિકા સ્થિત રિપ્લેઝ બિલિવ ઈટ ઓર નોટ (Ripley’s Believe It or Not!) હોલીવુડ મ્યુઝિયમમાં પણ તેમને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના વાળ માત્ર સૌંદર્યનું પ્રતીક નહીં, પરંતુ એક વૈશ્વિક ઓળખ બની ગયા હતા. કેન્સર દર્દીઓની વીગ બનાવવા માટે દાનપોતાના આ નિર્ણય વિશે વાત કરતા નિલાંશીએ જણાવ્યું કે, આજે હું મારા વાળ કાપી રહી છું જે કેન્સર સામે લડી રહેલા દર્દીઓને દાન કરવામાં આવશે. મારો ઉદ્દેશ્ય એ છે કે જિંદગીની કઠિન લડત લડી રહેલા દર્દીઓને આનાથી આત્મવિશ્વાસ, શક્તિ અને આશા મળે. એક નાનું સ્મિત પણ કોઈના જીવનમાં મોટી ખુશી લાવી શકે છે. સુંદરતાથી ઉદ્દેશ્ય તરફની સફરસામાન્ય રીતે સ્ત્રીઓ માટે વાળ કુદરતી સૌંદર્યનું ઘરેણું માનવામાં આવે છે, પરંતુ નિલાંશીએ આ સૌંદર્યને પરોપકારના હેતુ માટે જતું કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, મને ખબર છે કે મારા વાળ ઘણા લોકોને પ્રિય હતા, પરંતુ આ વાળ કાપવા એ અંત નથી, પણ એક નવા ઉદ્દેશ્યની શરૂઆત છે. નિલાંશીના આ સાહસિક અને સંવેદનશીલ નિર્ણયને સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે આવકાર મળી રહ્યો છે. લોકો તેમના આ બદલાવ અને માનવતાવાદી અભિગમને બિરદાવી રહ્યા છે.
ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે છોટા ઉદેપુર જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત લીધી હતી. તેમણે કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલી જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની યોજનાઓની સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ નસવાડી તાલુકાના કુપ્પા ગામે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ કર્યું. ૯૧ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલી આ યોજનાથી ૪૦ ગામોને પીવાના પાણીનો લાભ મળશે. ઉપરાંત, તેમણે રાજવાસણા ખાતે ગુજરાતના ત્રણ રબર ડેમ પૈકીના એકની પણ મુલાકાત લીધી. ૧૮૦ મીટર લાંબો આ ડેમ ૮૨.૯૭ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. આ ડેમ પૂર્ણ થતાં ૨૫ ગામોની ૩૪૨૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ કામ ૩૦ મહિનામાં પૂરું કરવાનું લક્ષ્ય છે. અન્ય યોજનાઓમાં, સુખી જળાશય યોજનાની કેનાલના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ કેનાલનું કામ પૂર્ણ થયા બાદ ૩૨ ગામોને સિંચાઈનો લાભ મળશે. હાથીપગલા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ૬૬.૮૫ કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી ચાલી રહી છે, જેનો લાભ ૫૨ ગામોને મળશે. મંત્રીએ આ તમામ યોજનાઓની સ્થળ પર જ સમીક્ષા કરી હતી.
સુરત નવીસિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં રવિવારે સાંજે વધુ એક વખત ડોક્ટર સાથે માથાકુટ કરવામાં આવી હતી. અન્ય દર્દીને સારવાર આપી રહેલા રેસીડેન્ટ ડોકટર સાથે એક દર્દીએ ખેંચતાણ કરીને માથાકુટ કરતા હોબાળો થયો હતો. જેથી ત્યાં ડોકટર સહિતના સ્ટાફની જરૂરી સુરક્ષા અંગે સવાલો ઉઠવા પામ્યા છે. મળતી માહિતી પ્રમાણે, નાનપુરામાં રહેતા 66 વર્ષીય સલીમ શેખ આજે સાંજે શરીરના ભાગે ઇજા થઇ હોવાથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરન્સી વિભાગમાં આવ્યા હતા. ત્યાં માઇનોર ઓપરેશન થિયેટર પાસે ડોકટરોઅને નર્સિગ સ્ટાફ જે ખુરસી બેસે છે. તે ખુરશી પર જઇને સલીમભાઈ બેસી ગયા હતા અને તેને સારવાર આપવા માટે ડોકટરને કહેતા હતા. બાદમાં તે અપશબ્દો કહેતા અન્ય દર્દી સારવાર આપી રહેલા એક રેસીડન્સી ડોકટર સાથે ખેંચતાણ કરીને શર્ટનું ખિસુ ફાડી નાખ્યુ અને ધકામુકી કરવા લાગ્યા હતા. જેથી ત્યાં ભારે હોબાળો થતા અન્ય ડોકટર સહિતના સ્ટાફ દોડી આવીને ડોકટરને છોડાવ્યા હતા. પણ તે દર્દી ત્યાં હાજર સ્ટાફ સાથે ઉદ્રત વર્તન કરતા હતા. સિકયુરીટી ગાર્ડ સહિત સ્ટાફ તેને પકડીને નવી સિવિલ ખાતે પોલીસ ચોકીમાં લઇ ગયા હતા. નવાઇ વાત એ છે કે, સિવિલમાં ઇમરજન્સી વિભાગમાં ડોક્ટર સહિતની સ્ટાફની સુરક્ષા માટે હેડ કર્વાટસના પોલીસ જવાનો ત્યાં મુકવામાં આવ્યા છે. પણ જે વખતે હોબાળો થયો ત્યારે હેડ કર્વાટસના પોલીસ જવાન ત્યાં હાજર ન હતા. જોકે અગાઉ પણ ઇમરજન્સી વિભાગમાં સ્ટાફ સાથે માથાકૂટ થઇ હતી. તે સમયે આ પોલીસકર્મી ગાયબ હતા. એવુ ત્યાં ચર્ચાઇ રહ્યુ હતું. આ સાથે ત્યાં હાજર અમુક સિક્યુરીટી ગાર્ડ યોગ્ય ફરજ બજાવતા નહી હોવાનું સુત્રો કહ્યુ હતું. જેના લીધે નવી સિવિલમાં ઇમરજન્સી વિભાગમાં ડોકટર સહિતના સ્ટાફને જરૂરી સુરક્ષા મળતી નથી અને તેમની સુરક્ષા અંગે સવાલો પણ ઉઠવા પામ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ હતું.
શહેરના ખોખરા વિસ્તારમાં ઉતરાયણના તહેવાર દરમિયાન અને ત્યારબાદ સમાજ માટે એક પહેલ સતત છેલ્લા છ વર્ષથી ચાલી રહી છે. ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલના માર્ગદર્શન હેઠળ ખોખરા યુથ ફેડરેશન દ્વારા ઉતરાયણના ત્રણથી ચાર દિવસ પહેલા અને ઉતરાયણ પૂર્ણ થયા બાદ બેથી ત્રણ દિવસ સુધી ખાસ દોરી એકત્રીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત આસપાસના વિસ્તારમાંથી મળતી તમામ દોરીના ગૂંચળા એક નિર્ધારિત મેદાનમાં સંગ્રહ કરવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓને પણ તેમની આજુબાજુમાં પડેલી કે લટકતી દોરી ભેગી કરીને ફેડરેશનને આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો ઇનામના લાલચમાં આગળ આવીને તેમના વિસ્તારમાંથી દોરીના ગૂંચળા એકત્ર કરીને લાવે છે, જેનાથી એક તરફ સફાઈ થાય છે અને બીજી તરફ બાળકોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે છે. કમલેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોખરા યુથ ફેડરેશન દ્વારા છેલ્લા છ વર્ષથી અમે આ પ્રકારનું દોરી એકત્રીકરણનું કાર્ય કરી રહ્યા છીએ. 18 જાન્યુઆરીના રોજ સવારે બધી દોરીઓનો મેદાનમાં નિકાલ કરશે જેમાં ભાજપના ધારાસભ્ય અને બધા હાજર રહેવાના છે.સાંસદ સભ્ય દિનેશ મકવાણા અને મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ હાજર રહેશે. દોરીઓ એકત્રિત કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આપશે. અમારા ફેડરેશનના 100 કરતાં વધુ કાર્યકર્તાઓ ઉતરાયણ દરમિયાન પતંગ ઉડાવતા નથી. કારણ કે દોરીના કારણે અનેક નિર્દોષ પ્રાણી અને અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે અથવા પોતાનો જીવ ગુમાવે છે. માણસ પોતાનો વિકલ્પ શોધી શકે છે, પરંતુ પક્ષી અને પ્રાણીઓ પાસે કોઈ વિકલ્પ હોતો નથી. આ વિચાર અમને અને અમારા મિત્રોને છ વર્ષ પહેલા આવ્યો અને ત્યારથી આ અભિયાન શરૂ થયું. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રથમ વર્ષમાં અંદાજે 200 કિલો દોરી એકત્ર થઈ હતી. ત્યારબાદ ધીમે ધીમે આ આંકડો વધતો ગયો અને 400, 600 કિલો સુધી પહોંચ્યો. હાલના વર્ષોમાં તો હજાર કિલો કરતાં પણ વધુ દોરી એકત્રિત થઈ રહી છે. આ તમામ દોરીનો નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી ગ્રીન એનર્જી વેસ્ટ તરીકે કરવામાં આવે છે. જેથી પર્યાવરણને નુકસાન ન થાય. આ અભિયાન પાછળનો મુખ્ય હેતુ માત્ર દોરી એકત્ર કરવો નહીં પરંતુ નવી પેઢીમાં સારા સંસ્કાર ઉભા કરવાનો છે. કમલેશ પટેલ જણાવે છે કે, અમે એવું ઇચ્છીએ છીએ કે નાના કુમળા બાળકોમાં આદત પડી જાય કે તેઓ આસપાસ લટકતી કે જમીન પર પડેલી દોરી ભેગી કરીને યોગ્ય જગ્યાએ મૂકે અથવા આવી કોઈ સંસ્થાને સોંપે. જો આવું થાય તો દોરીથી થતી અનેક સમસ્યાઓનું સમાધાન શક્ય બને. બાળકો અને સ્થાનિક લોકોને વધુ પ્રોત્સાહન આપવા માટે ફેડરેશન દ્વારા ઇનામોની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ફૂડ પેકેટ, સ્ટેશનરી સામગ્રી, તેમજ મહિલાઓ માટે બોરીયા, બક્કલ જેવી ઉપયોગી વસ્તુઓ ઇનામ રૂપે આપવામાં આવે છે. ઇનામના બહાને લોકો ઉત્સાહપૂર્વક તેમની આસપાસની દોરી ભેગી કરીને સંગ્રહ કરે છે. ખોખરા યુથ ફેડરેશનના લગભગ 100 જેટલા કાર્યકર્તાઓ છેલ્લા છ વર્ષથી નિસ્વાર્થ ભાવથી આ અભિયાનમાં જોડાયેલા છે.
નીલેષ મુશારને PASA હેઠળ અમદાવાદ જેલ મોકલાયો:દારૂના ગેરકાયદેસર ધંધા સામે પોલીસની કડક કાર્યવાહી
પોરબંદર જિલ્લા પોલીસે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરી છે. આ અંતર્ગત દારૂની હેરાફેરી અને વેચાણમાં સક્રિય નીલેષ હમીરભાઈ ઉર્ફે ભુપતભાઈ મુશારને P.A.S.A. (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયત કરીને અમદાવાદ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. રાણાવાવ વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી તપાસ દરમિયાન રાણાવાવ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 3840 સીલપેક બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ. 6,82,800 થાય છે. આ દારૂ બહારથી મંગાવી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે આરોપી તરીકે નીલેષ હમીરભાઈ ઉર્ફે ભુપતભાઈ મુશાર (ઉંમર 31 વર્ષ, રહે. દેવડાગામ, તા. કુતિયાણા, જી. પોરબંદર) સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, એલ.સી.બી. પોરબંદરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા દ્વારા આરોપી સામે P.A.S.A.ની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. સમગ્ર કેસની ગંભીરતા અને આરોપીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટે P.A.S.A. હેઠળ અટકાયતનો હુકમ પસાર કર્યો હતો. આ હુકમના અનુસંધાને P.A.S.A. વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાએ વોરંટની બજવણી કરી આરોપીને કાયદેસર રીતે અટકાયત કરીને અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગેરસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ખોટા જન્મ પ્રમાણપત્ર, ખોટા અનફિટ સર્ટિફિકેટ અને વારસાઈ નોકરીના નામે છેતરપિંડીના કિસ્સાઓ ફરી એક વખત સામે આવ્યા છે. વિજિલન્સ તપાસ બાદ નોકરીમાંથી કાઢી મૂકાયેલા અનેક કર્મચારીઓએ હવે અપીલ સબ-કમિટી સમક્ષ પોતાની નોકરી પરત મેળવવા માટે અરજી કરી છે, જેના કારણે કોર્પોરેશનમાં ચર્ચા ગરમાઈ છે. ખોટું સર્ટિફિકેટ રજૂ કરી પતિ-પત્નીએ નોકરી મેળવી લીધીથલતેજ વિસ્તારના સફાઈ કામદાર લીલાબેન આત્મારામ વાઘેલાના પતિ આત્મારામ વાઘેલાએ કાળી નગરપાલિકામાં શારીરિક રીતે અનફિટ હોવાનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરી પત્નીને તેમની જગ્યાએ નોકરી અપાવી હતી. બીજી તરફ તેમણે પોતાની માતા ગંગાબેનના વારસદાર તરીકે નારણપુરા વોર્ડમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી મેળવી લીધી હતી. વિજિલન્સ તપાસમાં આ છેતરપિંડી સાબિત થતાં બંનેને 2024માં નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે બે વર્ષ પછી તેઓ અપીલ સબ-કમિટી સમક્ષ પરત નોકરી મેળવવા માટે રજૂઆત કરી રહ્યા છે. મહિલા સફાઈ કામદારે ખોટુ સર્ટિફિકેટ રજૂ કરી નોકરી લંબાવીઆ જ રીતે થલતેજ વોર્ડમાં સફાઈ કામદાર ગંગાબેન મિયાવાડાએ ખોટા જન્મ પ્રમાણપત્ર રજૂ કરી વધુ સમય સુધી નોકરી ચાલુ રાખી હતી. તેમની થલતેજ ગ્રામ પંચાયત રેકોર્ડમાં જન્મ તારીખ 1964 નોંધાયેલ છે પરંતુ, આંબરેલી ગ્રામ પંચાયત કોર્ટ ઓર્ડર મુજબ 1977માં બદલી નાખીને કોર્પોરેશનમાં છેતરપિંડી કરી હતી. સફાઈ કામદાર ગંગાબેન દ્વારા રજુ કરવામાં આવેલા તેમના પુરાવા મુજબ જો વર્ષ 1977 મુજબ તેમની જન્મ તારીખ ગણવામાં આવે તો તેમના મોટા પુત્રનો જન્મ વર્ષ 1983માં(શાળા છોડયાના પ્રમાણપત્ર મુજબ) ગણવામાં આવે તો પણ ખૂબ મોટો તફાવત જોવા મળે છે. જે તાર્કિક રીતે સત્ય જણાતું નથી. કાયમી થયા ત્યારે SSI દ્વારા પણ તેમના જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, તેની ચકાસણી યોગ્ય રીતે કરવામાં આવી નહોતી. વર્ષ 2022માં આ સમગ્ર મામલે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને શો- કોઝ નોટિસ આપવામાં આવી હતી જેની તપાસ બાદ વર્ષ 2023માં તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ તેઓએ ફરીથી નોકરી મેળવવા માટે અરજી કરી છે. વહીવટી ચાર્જના પૈસા વસૂલી અંગત ઉપયોગ માટે વાપર્યાસોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિવિધ એકમો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવા માટે 13 જેટલી બુક અબ્દુલ લતીફ શેખને આપવામાં આવી હતી. તેમને આ વહીવટી ચાર્જની બુક બતાવી જવા માટે 25મી સપ્ટેમ્બર 2020ના રોજ લેખિત સૂચના આપી હતી. બાદમાં 29મી સપ્ટેમ્બરે તેણે 13 પૈકી 6 બુક બતાવી હતી. બાકીની પહોંચ નહી બતાવતાં 1લી ઓક્ટોબર 2020ના રોજ લતીફને ફરજ મૌકુફી પર ઉતારવામાં આવ્યા હતા તેમજ તેમણે આ પૈસા પોતાના અંગત ઉપયોગ માટે વાપર્યા હોવાનું માનવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક તપાસમાં તેણે 13 બુકમાં 24.06 લાખ વહીવટી ચાર્જ પેટે વસુલ્યા હતા જે પૈકી 1.31 લાખ તેણે સિવિક સેન્ટર ખાતે જમા કરાવ્યા હતા. જ્યારે 10.87 લાખની રકમ તેણે જમા કરાવી ન હતી. 2022માં તેની સામેની તપાસ પુર્ણ થતાં તેની સામે આરોપ પુરવાર થયા હતા. જે હુકમ સામે તેણે અપીલ સબ કમિટી સમક્ષ રજૂઆત કરી છે કે, તેના પર દયા રાખી તેને ફરીથી નોકરી પર પરત લેવામાં આવે. કોર્પોરેશન દ્વારા દ્વારા તેની આ અપીલને ફગાવી દેવા માટે કમિટી સમક્ષ રજૂઆત કરી છે. જોકે, આવતીકાલે યોજાનારી અપીલ સબ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. બે વર્ષ પછી અપીલ સબ-કમિટીમાં પરત ફરવાની માંગ આ તમામ કિસ્સાઓમાં AMC દ્વારા ખાતાકીય તપાસ અને વિજિલન્સ કાર્યવાહી બાદ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતા, પરંતુ બે વર્ષ પછી તેઓ અપીલ સબ-કમિટીમાં પરત ફરવાની માંગ કરી રહ્યા છે. આવતીકાલે યોજાનારી અપીલ સબ-કમિટીની બેઠકમાં આ રજૂઆતો પર નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાઓએ કોર્પોરેશનમાં નોકરી મેળવવા અને ચાલુ રાખવા માટેની નીતિઓ અને તપાસ પ્રક્રિયા પર ફરી એક વખત ગંભીર સવાલો ઉભા કર્યા છે.
એસટી બસના મહિલા કંડક્ટરને મહિલા મુસાફર દ્વારા લાફા મારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે રાજકોટથી પોરબંદર રૂટની બસ ગોંડલ હાઇવે પર પહોંચી ત્યારે ઈમરજન્સી છે અને અમારે નીચે ઉતરવું છે તેમ કહી પુરુષ અને મહિલા મુસાફરે રિફંડ આપવાની માંગણી કરી હતી જોકે નિયમ મુજબ રિફંડ આપી શકાય તેમ નથી તેવું કહેતા મહિલા મુસાફર ઉશ્કેરાઈ ગયા અને લાફા મારી દીધા હતા જોકે આ ઘટનામાં કંડકટર દ્વારા પોલીસ મથકમાં FIR દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોરબંદરના રાતીયા ગામે રહેતા અને એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હેતલબેન રાઠોડે રાજકોટના કૈલાશ પાર્કમાં રહેતા સાગરદાન પાંચાલીયા અને ભગવતીબેન લીલા સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે 17 જાન્યુઆરીના સાંજના સમયે રાજકોટ થી પોરબંદર રૂટની બસ માં તેઓ કંડકટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા આ દરમિયાન ઉપરોક્ત બંને વ્યક્તિઓ મુસાફર તરીકે બસમાં બેઠા હતા. જે બાદ બસ ગોંડલ હાઇવે પર પહોંચી ત્યારે બંને વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમારે ઈમરજન્સી છે અને બસમાંથી ઉતરી જવું છે જેથી રિફંડ આપો. જેથી કંડક્ટરે કહ્યું કે તમને બસમાંથી ઉતારી દઈએ પરંતુ રિફંડ આપી શકાય તેમ નથી. જેથી મહિલા મુસાફર ઉશ્કેરાઈ ગયા હતા અને કંડકટરના ગાલ પર બે ત્રણ લાફા મારી દીધા હતા અને ઈજા પહોંચાડી હતી. જેથી કંડકટર દ્વારા આજીડેમ પોલીસ મથકમાં કાયદેસરની ફરજમાં રુકાવટની એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંચમા માળેથી પડી જતા યુવતીનું મોત શહેરના કટારિયા ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાટરમાં રહેતા 24 વર્ષીય પલકબેન ઝાલા આજે બપોરે 3 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે પાંચમાં માળેથી પડી ગયા હતા જેથી લોહીલુહાણ અને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યુ હોવાનુ જાહેર કર્યુ હતુ. ઘઉંમાં નાખવાનો પાવડર ખાઇ જતા, ગળાફાંસો ખાતા યુવાનનું મૃત્યુ શહેરના હરીધવા રોડ ઉપર રહેતા 30 વર્ષીય કેવિનભાઈ રૈયાણી ગત 15 જાન્યુઆરીના સાંજના 7 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણસર ઘઉંમા નાખવાનો પાવડર લઇ લેતા તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવવામાં આવ્યા હતા. જોકે આજે ચાલુ સારવાર દરમ્યાન તેમનુ મૃત્યુ નિપજ્યુ હતુ. જ્યારે અન્ય બનાવમા બાલાજી હોલ પાસે ન્યુલક્ષ્મિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ભાવેશભાઇ સંઘાણી કોઈ કારણસર ગળાફાંસો ખાઇ લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તેમનું જોઈ તપાસી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતુ.
ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી તથા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.)ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શુક્રવારે ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ વડોદરા પધાર્યા હતા. ત્યારબાદ આજે રવિવારે સાંજે વડોદરાના આટલાદરા ખાતે યોજાયેલી વિશેષ સ્વાગત સભામાં 10 હજારથી વધુ ભાવિક ભક્તજનોએ અભૂતપૂર્વ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ સભા સામાન્ય રવિવારની સભાના રૂપમાં આયોજિત કરવામાં આવી હતી, જેથી તમામ ભક્તો પોતાની હાર્દિક ઈચ્છાઓને પૂર્ણ કરી શકે. સામાન્ય રીતે દરેક ભક્તના મનમાં એક જ ઈચ્છા રહે છે કે, પોતે જાતે ભગવાન કે ગુરુને પુષ્પહાર અર્પણ કરે, પોતાના હાથે મનપસંદ વ્યંજન અર્પણ કરે અને આરતી ઉતારે. પરંતુ મહંત સ્વામી મહારાજના માત્ર 34 દિવસના રોકાણ દરમિયાન આટલા વિશાળ ભક્તસમુદાયની આ લાગણી પૂર્ણ થવાની શક્યતા ઓછી હોવાથી સંતોએ અભિનવ આયોજન કર્યું હતું. આ અનુસાર તમામ ભક્તજનો પોતાની સાથે પુષ્પમાળા અને મનપસંદ વ્યંજન લઈને આવ્યા હતા. સમૂહમાં બેઠેલા દરેક ભક્તે પોતાના સ્થાનેથી જ ભગવાનની પ્રતિમાઓ તથા મહંત સ્વામી મહારાજને પુષ્પમાળા અર્પણ કરી હતી. આ સમયે અદ્ભુત દૃશ્ય સર્જ્યું હતું. ત્યારબાદ ઘરેથી લાવેલા વ્યંજન પણ પોતાના સ્થાનેથી અર્પણ કર્યા, જેનાથી ભક્તોને ભગવાન તથા ગુરુએ તે સ્વીકાર્યા તેવી અપાર તૃપ્તિ અનુભવી હતી. અંતમાં 10 હજારથી વધુ ભક્તોએ એક સાથે સમૂહ કીર્તન ગાયું અને સામૂહિક આરતી કરીને ભક્તિભાવની પરાકાષ્ઠા દર્શાવી હતી. આ અવિસ્મરણીય ક્ષણોએ વડોદરાના બી.એ.પી.એસ. મંદિર ખાતે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સમાવેશ સર્જ્યો હતો. ભક્તજનોના આ ઉમળકાભર્યા સ્વાગતથી મહંત સ્વામી મહારાજ પણ અત્યંત પ્રસન્ન થયા હોવાનું જણાયું હતું.
વલસાડ LCBએ ફરાર બુટલેગર સરપંચની ધરપકડ કરી:₹21.96 લાખના દારૂ કેસમાં પંચલાઈના સરપંચ જેલમાં ધકેલાયા
વલસાડ LCBએ એક મહિનાથી ફરાર પંચલાઈ ગામના સરપંચ રવિન્દ્ર ઉર્ફે રવિ પટેલની ગત રાત્રે ધરપકડ કરી છે. ડુંગરી પોલીસ મથકે નોંધાયેલા ₹21.96 લાખના પ્રોહિબિશન મુદ્દામાલના કેસમાં તેમની સંડોવણી હતી.આ સમગ્ર મામલો 18મી ડિસેમ્બર 2025ના રોજ ડુંગરી પોલીસ મથકની હદમાં થયેલી પોલીસ રેઈડ સાથે સંબંધિત છે. આ રેઈડ દરમિયાન પોલીસે ₹5,96,160ની કિંમતનો વિદેશી દારૂ અને ₹16,00,000ની કિંમતના વાહનો મળી કુલ ₹21,96,160નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં બ્રેજા કાર (GJ-15-CJ-1260)માંથી ₹1.19 લાખનો દારૂ (528 વિદેશી દારૂની બોટલ), મારુતિ ઇકો (GJ-15-CR-7261)માંથી ₹4.08 લાખનો (1368 બોટલ વિદેશી દારૂનો જથ્થો), એક્સેસ મોપેડ (GJ-21-DC-5860)માંથી ₹8,640નો દારૂ અને એક્ટિવા મોપેડ (DD-03-J-2944)માંથી ₹8,640નો દારૂનો જથ્થો સામેલ હતો. રેઈડ સમયે આરોપીઓ અને વાહન માલિકો ફરાર થઈ ગયા હતા.તપાસ દરમિયાન સામે આવ્યું કે, પંચલાઈ ગામના સરપંચ રવિન્દ્ર ઉર્ફે રવિ પટેલ આ ગેરકાયદે દારૂના નેટવર્કના મુખ્ય સૂત્રધાર હતા. ટેકનિકલ સર્વેલન્સ અને પુરાવાઓના આધારે તેમની દારૂના સંગ્રહ અને વહનની પ્રવૃત્તિમાં સીધી સંડોવણી હોવાનું જણાયું હતું.સ્થાનિક ચર્ચાઓ મુજબ, સરપંચને બચાવવા માટે કેટલાક રાજકીય આકાઓએ પ્રયાસો કર્યા હતા. આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો અને પોલીસ દ્વારા અપાયેલી નોટિસોનો પણ અનાદર કર્યો હતો. જોકે, વલસાડ LCBએ કોઈપણ દબાણને વશ થયા વિના મક્કમતાથી કાર્યવાહી કરી તેમને ઝડપી પાડ્યા.ધરપકડ બાદ આરોપી સરપંચને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તે મંજૂર ન કરતા આરોપીને સીધા જ સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો.LCBની આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા વ્યક્તિની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ ગયો છે. આ સફળ કામગીરીથી જિલ્લાના ગુનેગારોમાં પણ કાયદાનો ડર વધ્યો છે.
મહેસાણા જિલ્લાના લિંચ ગામ પાસે પુરઝડપે જતી મોટરસાયકલે રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તેઓ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. અકસ્માત સર્જ્યા બાદ બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેની વિરુદ્ધ લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પુરઝડપે આવતા બાઈકચાલકે ટક્કર મારીલિંચ ગામે રહેતા જાગૃતિબેન પટેલ ગત 13 જાન્યુઆરીના રોજ સાંજે સાત વાગ્યાના સુમારે ઘરેથી સોસાયટીના નાકે જઈ રહ્યા હતા. તે સમયે તેમના પતિ અશ્વિનભાઈ પટેલ ટેલિફોન એક્સચેન્જ તરફથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન અંબાસણ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા મોટરસાયકલ નંબર GJ-02-DS-8173 ના ચાલકે અશ્વિનભાઈને જોરદાર ટક્કર મારી હતી. બાઈકની ટક્કરે અશ્વિનભાઈ રોડ પર પટકાયાટક્કર એટલી ભયાનક હતી કે અશ્વિનભાઈ રોડ પર પટકાતા તેમને કાનના ભાગેથી લોહી નીકળવા માંડ્યું હતું. પત્ની જાગૃતિબેને દોડી જઈને પતિને સંભાળ્યા હતા અને અકસ્માતને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. જોકે ભીડનો લાભ લઈને બાઇક ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અશ્વિનભાઈને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લાઘણજ પોલીસ સ્ટેશનમાં બાઈકચાલક વિરૂદ્ધ ફરિયાદહોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ કરતા અશ્વિનભાઈને માથામાં હેમરેજ થયું હોવાનું નિદાન કર્યું છે. અકસ્માત બાદ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે જાગૃતિબેન પટેલે લાઘણજ પોલીસ મથકમાં અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાઇક નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એથાણ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જમવામાં માત્ર રોટલી બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથામાં કુહાડીનો તીક્ષ્ણ ઘા ઝીંકી તેણીની નિર્મમ હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટના દંપતીના પુત્રની નજર સામે જ બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે. ઘટનાની વિગતએથાણ ગામના મોટા હળપતિવાસમાં રહેતા સુખા ગુલાબ હળપતિ મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. 17 જાન્યુઆરીના રોજ બપોરના 1:30થી 2:00 વાગ્યાના અરસામાં સુખા હળપતિ ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની મનીષાની તબિયત નરમ હતી. અસ્વસ્થતાને કારણે મનીષાએ જમવામાં માત્ર દાળ-ભાત બનાવ્યા હતા. સુખાએ જમવા બાબતે પૂછતા પત્નીએ પોતાની બીમારીને કારણે રોટલી બનાવી શકી ન હોવાનું જણાવ્યું હતું. પુત્રની નજર સામે જ પિતા હેવાન બન્યોજમવામાં રોટલી કેમ નથી બનાવી તે મુદ્દે સુખાએ ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. આવેશમાં આવીને તેણે ઘરમાં પડેલી કુહાડી મનીષાના માથાના ભાગે ઝીંકી દીધી હતી. હુમલો એટલો જીવલેણ હતો કે મનીષા લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી. આ દ્રશ્ય દંપતીના પુત્ર આર્યનની નજર સામે જ સર્જાયું હતું. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, તબીબી તપાસ બાદ મનીષાને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહીઆ અંગે DYSP એસ. કે. રાયે જણાવ્યું હતું કે, મૃતકના કાકા ઠાકોર છીબા હળપતિએ જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ સુખા ગુલાબ હળપતિની ધરપકડ કરી છે. કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. લાડુમોર ચલાવી રહ્યા છે.
મહેસાણા શહેરની સિંધી સોસાયટી પાસે આવેલી પટાવાળાની ચાલીમાં ઘરકંકાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કામકાજ કરવા બાબતે પિતાએ ઠપકો આપતા પુત્રએ આવેશમાં આવી પિતા પર લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે ઇજાગ્રસ્ત પિતાએ મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકમાં પોતાના જ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કામધંધા મામલે પિતાએ ઠપકો આપ્યોશહેરમાં સિંધી સોસાયટીની બાજુમાં પટાવાળાની ચાલીમાં રહેતા 40 વર્ષીય જયંતીભાઈ વણકરનો મોટો પુત્ર પિયુષ કોઈ કામધંધો કરતો ન હોવાથી પિતા તેને અવારનવાર ઠપકો આપતા હતા. આજે સવારે 10 વાગ્યાની આસપાસ જયંતીભાઈએ ફરી એકવાર દીકરાને કામકાજ કે મજૂરીએ જવા માટે સમજાવ્યો હતો. આ સાંભળી પિયુષ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પિતા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. પુત્રનો પિતા પર લોખંડની પાઈપથી હુમલોતકરાર એટલી વધી ગઈ હતી કે, ઉશ્કેરાયેલા પુત્રએ નજીકમાં પડેલી લોખંડની પાઇપ ઉપાડી પિતાના જમણા પગના ઘૂંટણના ભાગે જોરદાર ફટકારી હતી. હુમલો કર્યા બાદ પિયુષ પિતાને તમારે મને કમાવા જવાનું કહેવું નહીં તેમ કહી ધમકાવીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયંતીભાઈને તેમની પત્ની અને નાના ભાઈ અરવિંદભાઈ રિક્ષામાં તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા.હાલ જયંતીભાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની ફરિયાદને આધારે એ-ડિવિઝન પોલીસે પિયુષ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોરસદ પાલિકામાં હાજરી કૌભાંડ?:કેટલાક કર્મચારીઓની વર્ષમાં 362 દિવસ હાજરી, ચીફ ઓફિસરે તપાસની સૂચના આપી
બોરસદ નગરપાલિકામાં એક મોટા હાજરી કૌભાંડનો આરોપ લાગ્યો છે. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં સામે આવ્યું છે કે કેટલાક કર્મચારીઓએ વર્ષમાં 362 દિવસ સુધી હાજરી પૂરી છે, જે રજાઓ અને અન્ય સામાન્ય ગેરહાજરીને ધ્યાનમાં લેતા અવાસ્તવિક છે. આ મામલે પાલિકાને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી બોરસદ નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં પ્રાંત અધિકારી અમિત પટેલ અને ચીફ ઓફિસર વિરાજ શાહ ફરજ બજાવે છે. જોકે, ચીફ ઓફિસર વિરાજ શાહ પર સ્થાનિક રાજકીય નેતાના ઈશારે કામ કરવાનો અનેક આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે પ્રાદેશિક કમિશનરમાં પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે એક જાગૃત નાગરિકે છેલ્લા ચાર વર્ષમાં 190થી વધુ કર્મચારીઓની હાજરી અને પગારની વિગતો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગી. શરૂઆતમાં પાલિકા દ્વારા માહિતી આપવામાં વિલંબ કરવામાં આવ્યો હતો, જેના પગલે અરજદારે વડોદરાના પ્રાદેશિક કમિશનરમાં પ્રથમ અપીલ દાખલ કરી. પ્રાદેશિક કમિશનરે પખવાડિયામાં વિગતો આપવાનો આદેશ કર્યો હતો. આદેશ છતાં, ચીફ ઓફિસર વિરાજ શાહે 190થી વધુ કર્મચારીઓની માહિતીને બદલે માત્ર સાત કર્મચારીઓ - હિમાંશુભાઈ પટેલ, હિતેશભાઈ દલવાડી, બરકતખાન પઠાણ, રિતેશભાઈ ઠાકર, રઈસઅશરફખાન પઠાણ, અજયભાઈ ઠાકોર અને પરેશભાઈ ઠાકોરની વિગતો પૂરી પાડી. આ વિગતોમાં જોવા મળ્યું કે આ કર્મચારીઓએ વર્ષના 365 દિવસમાંથી 350, 362, 308, 291, 332 અને 297 દિવસની હાજરી પૂરી હતી. અરજદારે પ્રાદેશિક કમિશનર સમક્ષ રજૂઆત કરી કે, વર્ષમાં 52 રવિવાર, 27 શનિવાર અને અન્ય જાહેર રજાઓ મળીને અંદાજે 100 જેટલી રજાઓ હોય છે. આ ઉપરાંત, કર્મચારીઓના કુટુંબમાં સારા-નરસા પ્રસંગો અને માંદગી જેવા સંજોગો પણ હોય છે. મુસ્લિમ કર્મચારીઓ રમઝાન ઈદ, બકરી ઈદ, મોહરમ જેવા તહેવારોમાં અને હિન્દુ કર્મચારીઓ ઉત્તરાયણ, જન્માષ્ટમી, દશેરા જેવા તહેવારોમાં હાજર રહ્યા હોય તે હકીકત પાલિકાના જવાબદાર અધિકારીએ ધ્યાને લીધી નથી. આ ગેરરીતિને કારણે પાલિકાને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો આક્ષેપ છે. અરજદારે ચીફ ઓફિસર વિરાજ શાહ પર ગેરરીતિ આચરવાનો આરોપ મૂક્યો છે અને આ હાજરી કૌભાંડની સંપૂર્ણ તપાસ કરી, જવાબદાર અધિકારીઓ સામે પાલિકા અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવા અને ચીફ ઓફિસરને ફરજમુક્ત કરવાની માંગ કરી છે.
ગાંધીનગર એલસીબી-2 ની ટીમ દ્વારા આજે વહેલી સવારે માણસાના અનોડીયા-લાકરોડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરીને બે ગાડીમાંથી વિદેશી દારૂની 1944 બોટલો સહિત કુલ 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે ત્રણ રસ્તા પાસે પોલીસની નાકાબંધી જોઈ બુટલેગરો દારૂ ભરેલી બંને ગાડીઓ મૂકીને નદી તરફ નાસી જવામાં સફળ રહ્યા છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી.પરમારની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, હિંમતનગરથી પ્રાંતિજ થઈને વિદેશી દારૂનો મોટો જથ્થો સાબરમતી બ્રિજ પરથી અનોડીયા તરફ પસાર થવાનો છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે અનોડીયા-લાકરોડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને વાહનો દ્વારા રોડ પર આડશ કરી દેવાઈ હતી. બંને કારચાલક પોલીસને જોઈ ગાડી મુકી ભાગી છૂટ્યાઆ દરમિયાન સાબરમતી બ્રિજ પરથી બે સફેદ કલરની શંકાસ્પદ ગાડીઓ આવતી જોવા મળી હતી. પરંતુ પોલીસની આડશ જોઈને બંન્ને ગાડીના ચાલકો પાંચસો મીટર દૂર ગાડીઓ ઉભી રાખીને નદી તરફના કાચા રસ્તે ભાગી છૂટ્યા હતા. બાદમાં પોલીસે બિનવારસી બંન્ને ગાડીઓની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને કાર સહિત 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોજે પૈકી સફેદ કલરની સ્વીફ્ટ ગાડી (નંબર GJ-02-EC-4078) માંથી 3.86 લાખથી વધુની કિંમતનો દારુ બિયર નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે બીજી સફેદ બ્રેઝા ગાડી (નં GJ01-RV-4248) માંથી 3.28 લાખથી વધુની કિંમતનો દારુ બિયરનો 744 નંગ જથ્થો મળી આવ્યો હતો. આમ એલસીબીએ કુલ 1944=નંગ દારૂ બિયરના જથ્થા સહિત બન્ને ગાડીઓ મળીને કુલ રૂ.19.14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
શહેરના ગોતામાં રહેતા એક પરિવારને ઓસ્ટ્રેલિયા જવાની ઘેલછામાં લાખો રૂપિયા ગુમાવવા પડ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાના નામે આરોપીઓએ પરિવારના સપના પર પાણી ફેરવી લાખોની છેતરપિંડી આચરી છે. વિઝા કન્સલટન્સીના નામે ઓળખ આપનાર ગઠિયાઓએ પહેલા વિશ્વાસ જીત્યો હતો. ત્યાર બાદ લાખો રૂપિયા પડાવી ઓસ્ટ્રેલિયા જવા માટે બે વખત તો બેંગકોક મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંથી ઓસ્ટ્રેલિયા ન જવા મળતા ફરિયાદી અને તેનો પરિવાર સ્વખર્ચે ભારત આવી ગયો હતો. જો કે તે બાદ વિઝા આપવાના નામે 23 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા ફરિયાદીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી છે. ચાની દુકાન પર આરોપીઓ સાથે મુલાકાત થઈગોતામાં આવેલા પ્રાર્થના એલીગન્સમાં રહેતા રાજેન્દ્રકુમાર પટેલ છેલ્લા ઘણા ઓસ્ટ્રેલિયા જવા માંગતા હતા. વર્ષ 2024માં સોલા સિવિલ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક કલ્સનું કામકાજ કરતા ત્યારે સોલા હોસ્પિટલની સામે આવેલી ચાની દુકાન પર ચા પીવા માટે ગયા હતા. જ્યાં ચાની કીટલી પર વિજય દવે, અર્જુન દવે અને જય બ્રહ્મભટ્ટ સાથે મુલાકાત થઈ હતી. વાતચીત દરમિયાન આ તમામ લોકોએ પોતે વિઝા કન્સલટન્સીનું કામકાજ કરતા હોવાની ઓળખાણ આપી હતી. ઓસ્ટ્રેલિયન વર્ક પરમિટ વિઝા કઢાવવાની વાતચીત કરીરાજેન્દ્ર કુમારના કુટુંબના સભ્યો તેમજ અન્ય સગા સંબંધીઓ ઓસ્ટ્રેલિયા રહેતા હોવાથી તેમને પણ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા જવા માટે વાતચીત કરી હતી. જેથી રાજેન્દ્ર કુમારે આ ત્રણે લોકોને ઓસ્ટ્રેલિયન વર્ક પરમિટ વિઝા કઢાવવા માટે વાતચીત કરી હતી. જે બાદ ત્રણેય લોકોએ રાજેન્દ્રકુમારને આનંદનગર શ્યામલ ચાર રસ્તા પાસે સનગ્રેવીટાઝ બિલ્ડીંગમાં અસીમા ઓવરસીસ નામની વિઝા કન્સલટન્સી ઓફિસે બોલાવ્યા હતા. જેથી રાજેન્દ્ર કુમાર વિઝા કન્સલટન્સી ઓફિસે ગયા હતા. ત્યાં ત્રણ લોકો અને તેમની ભાગીદાર વાચીકા સલાટ પણ હાજર હતી. પ્રોસેસિંગ ફાઈલના ત્રણ લાખ એડવાન્સ પેટે રોકડા લીધાચારેય લોકોએ ત્રણ લોકોના ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અને બે વર્ષના ઓટો રિન્યુ સાથે વિઝા આપવાનો 83 લાખનો ખર્ચ જણાવ્યો હતો. ત્રણ મહિના માટે વિઝીટર વિઝા અને ત્યારબાદ 15 દિવસ પછી વર્ક પરમિટના વિઝા કરી આપવાની ખાતરી આપી હતી. તેમજ વર્ક પરમિટના વિઝા આવ્યા બાદ જ પેમેન્ટ આપવા પણ ફરિયાદીને કહ્યું હતું. જો કે તે બાદ ચારેય લોકોએ પાસપોર્ટની નકલ આપવાની વાતચીત કરી પ્રોસેસિંગ ફાઈલના ત્રણ લાખ એડવાન્સ પેટે રોકડા રૂપિયા ફરિયાદી પાસેથી લઈ લીધા હતા. વિઝાની પ્રોસેસ ભારતથી નહીં પરંતુ બેંગકોક પતાયાથી થશેએક મહિના સુધી કોઇ પ્રોસેસ ન થતાં રાજેન્દ્રકુમાર ફરી આ ગઠિયાઓને મળ્યા હતા. જેથી ફરિયાદીએ જય બ્રહ્મભટ્ટ પાસે વિઝીટર વિઝા માટેની પ્રોસેસ ક્યાં પહોંચી છે તેની વિગતો માગી હતી. જે દરમિયાન વિઝાની પ્રોસેસ ભારતથી નહીં, પરંતુ બેંગકોક પતાયાથી થશે જ્યાં કંપનીના લોયર છે તે બેંગકોકથી ઓસ્ટ્રેલિયાના વિઝા કરી આપશે તેમ કહીને 2500 ડોલરની માંગણી કરી હતી. જેથી ઓસ્ટ્રેલિયા જવાની લાહ્યમાં ફરિયાદી રાજેન્દ્રકુમારે 2500 ડોલર અને ટિકિટના મળીને કુલ 4.50 લાખ આપ્યા બાદ પરિવાર સાથે બેંગકોક ગયા હતા. ફરિયાદી 13 દિવસ બાદ સ્વખર્ચે ભારત પરત આવ્યાફરિયાદીના પરિવારની સાથે જય બ્રહ્મભટ્ટની પણ ટિકિટ કરાવવામાં આવી હતી. જે બાદ ચારેય લોકો પતાયા સિટીમાં રોકાયા હતા. તે દિવસ સુધી રોકાયા બાદ પણ ઓસ્ટ્રેલિયાના વિઝા આપવામાં આવ્યા નહીં. જો કે તે બાદ ફરિયાદી એ 13 દિવસ બાદ પોતાના સ્વખર્ચે ભારત પરત આવવું પડ્યું હતું. પરંતુ જય બ્રહ્મભટ્ટ ત્યાં જ રોકાઈને કામ પૂરું કરી આપવાની ખાતરી આપી ફરિયાદી સાથે પરત આવ્યો ન હતો. થોડા દિવસ પછી આરોપીઓએ ત્રણ મહિનાના વિઝીટર વિઝા અને ભારતથી બેંગકોક અને ત્યાંથી મલેશિયા અને ત્યાંથી સીડનીની ટિકીટ આપી હતી. પાસપોર્ટ પરત આપવા ફરિયાદી પાસેથી 8 લાખ પડાવ્યા ફરિયાદી રાજેન્દ્રકુમાર બેંગકોક અને ત્યાંથી કુઆલાલમ્પુર ગયા હતા. જ્યાં પહોંચ્યા બાદ સિડનીની ટિકીટ કેન્સલ થઇ હોવાથી ત્યાં રોકાવવું પડ્યુ હતું. જે બાદ ફરીથી ટિકિટ કઢાવવા માટે ફરિયાદી અને તેના પરિવાર પાસેથી પાસપોર્ટ લઈ લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ તેના પરિવારના પાસપોર્ટ જય બ્રહ્મભટ્ટના કહેવાથી એક શખસને આપી દીધા હતા. પરંતુ છતાં પણ ટિકિટ ન થતા ફરિયાદીએ જય બ્રહ્મભટ્ટ પાસે પાસપોર્ટ પરત માંગ્યા હતા. જય બ્રહ્મભટ્ટે પાસપોર્ટ પરત આપવા માટે ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયા પડાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝા પણ ખોટા હતાજે બાદ ફરિયાદી રાજેન્દ્રકુમાર પરિવાર સાથે કુઆલાલ્મપુરથી સ્વખર્ચે ભારત આવી ગયા હતા. જે બાદ વિદેશ ન જવાનું કહીને આરોપીઓ પાસે કુલ 23 લાખનો ખર્ચ પરત માંગતા આરોપીઓએ ચેકના ફોટો મોકલીને નાણાં પરત આપી દેવાનો વાયદો કર્યો હતો. તે બાદ રાજેન્દ્રકુમારે તપાસ કરતા તેમના ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝા પણ ખોટા હતા. જેથી વિઝા આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવતા ફરિયાદીએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં વિજય દવે, અર્જુન દવે, જય બ્રહ્મભટ્ટ અને વાંચીકા સેલત સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રભાસપાટણ સ્થિત વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિક ફોટોગ્રાફર પરિવારો દ્વારા પરંપરાગત અને ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરી રોજી-રોટી કમાવતા 150થી વધુ પરિવારોની આ સામૂહિક શ્રદ્ધા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત ન રહી, પરંતુ એકતા, સમર્પણ અને જીવનજરૂરિયાત સાથે જોડાયેલી આસ્થાનું જીવંત ઉદાહરણ બની. અવધુતેશ્વરથી સોમનાથ સુધી ભવ્ય શોભાયાત્રાઆ ધાર્મિક પ્રસંગે અવધુતેશ્વર મંદિરથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલે, ભક્તિગીતો અને મહાદેવના જયઘોષ સાથે આગળ વધતી યાત્રામાં ફોટોગ્રાફર પરિવારો, તેમના પરિવારજનો, તેમજ સોમનાથ મંદિર આસપાસ રોજગાર મેળવનારા પાથરણાવાળા અને ચોપાટી વિસ્તારના વેપારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ પર ભક્તિભાવ અને ઉત્સવનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. આઠ વર્ષથી અવિરત પરંપરાસોમનાથ ફોટોગ્રાફર એસોસિએશનના ઉપપ્રમુખ ભરત બામણિયાએ જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી ફોટોગ્રાફરો પોતાની રોજગારીમાંથી ફંડ એકત્ર કરી આ ધાર્મિક આયોજન કરે છે. “સોમનાથ મહાદેવ અમારી આસ્થા સાથે સાથે અમારી રોજીરોટીનો આધાર છે. તેથી મહાદેવના ચરણોમાં ધ્વજા અર્પણ કરી વિશ્વના કલ્યાણ અને અમારા વ્યવસાયમાં સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ,” તેમ તેમણે જણાવ્યું. ટ્રસ્ટ, પોલીસ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં ફોટોગ્રાફરો ના આમંત્રણ ને માન આપી જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તેમના ધર્મપત્ની સાથે સોમનાથ ખાતે ધ્વજારોહણ ના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સોમનાથ ફોટો ગ્રાફર એસો. ની આ પ્રવૃત્તિ ને બિરદાવી હતી. આ ઉપરાંત સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ, પ્રભાસ પાટણ પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો. ધ્વજાપૂજા બાદ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ પૂર્ણ થયો. સમર્પણથી સફળ આયોજનઆ સમગ્ર ધાર્મિક આયોજનને સફળ બનાવવા એસોસિએશનના પ્રમુખ દિવ્યેશ બામણિયા, ઉપપ્રમુખ ભરત બામણિયા તથા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. વ્યવસ્થા, શોભાયાત્રા, પૂજાવિધિ અને સુરક્ષા સહિત દરેક પાસું સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું. આસ્થા અને રોજગારનું અદભૂત સંગમસોમનાથ મહાદેવના ધ્વજારોહણનો આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ સ્થાનિક ફોટોગ્રાફર સમુદાય માટે આસ્થા અને રોજગારના અદભૂત સંગમનું પ્રતીક છે. દર વર્ષે વધતા ઉત્સાહ અને ભાગીદારી સાથે આ પરંપરા સોમનાથની ધાર્મિક અને સામાજિક ઓળખને વધુ મજબૂત બનાવતી જાય છે.
નવસારી શહેરના ઇતિહાસમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવવાના ભાગરૂપે નવસારીના લુંસીકુઈ મેદાનમાં પ્રકૃતિ અને કલાનો અનોખો સંગમ જોવા મળશે. અમદાવાદના પ્રખ્યાત ફ્લાવર શોની તર્જ પર યોજાનારા આ મહોત્સવ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રારંભ થશે રાજ્ય સરકારના 'વિકસિત ગુજરાત' અને 'વિકસિત નગરો'ના વિઝન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં આ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આગામી 10 થી 12 દિવસમાં આખરી ઓપ આપીને કાર્યક્રમની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવશે. શોના મુખ્ય આકર્ષણો આ ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં દેશી-વિદેશી ફૂલોનો ઉપયોગ કરીને વિવિધ થીમેટિક પ્રદર્શનો તૈયાર કરવામાં આવશે: રાષ્ટ્રીય સ્મારકો: ફૂલોથી નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવા સંસદ ભવનનું મોડેલ. સ્થાનિક ગૌરવ: નવસારીના પનોતા પુત્ર જમશેદજી ટાટા અને મહાત્મા ગાંધીની ભવ્ય પુષ્પકૃતિઓ. કુદરતી પ્રતિકૃતિઓ: વાઘ, સિંહ, પતંગિયા અને ક્લોક ટાવર જેવા આકર્ષક શિલ્પો. વિવિધ પ્રજાતિઓ: ગુલાબ, ગલગોટા, ઓર્કિડ સહિતના વિવિધ રંગીન પુષ્પોનું પ્રદર્શન. જનતા માટે નિઃશુલ્ક પ્રવેશની શક્યતાનવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં અનેક નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. આ ફ્લાવર શો પણ શહેરના ગૌરવમાં વધારો કરશે. મહત્વની વાત એ છે કે, આ મહોત્સવમાં લોકો માટે કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં ન આવે તેવી પ્રબળ શક્યતા છે, જેથી શહેરના દરેક વર્ગના લોકો આ નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણી શકે. આ આયોજનથી નવસારીના પર્યટન અને સાંસ્કૃતિક વારસાને નવો વેગ મળશે. પરિવાર, યુવાનો અને ફોટોગ્રાફીના શોખીનો માટે આ આખું અઠવાડિયું યાદગાર બની રહેશે તેવું જણાઈ રહ્યું છે.
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર 16 જાન્યુઆરીની રાત્રે સોડાની બોટલો ફેંકીને પોલીસને પડકાર ફેંકનાર આરોપીઓને દીવ ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓને દોરડાથી બાંધીને એસ.કે. ચોક પાસેની માર્કેટમાં રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓ લંગડાતા પગે ચાલતા અને જાહેરમાં બે હાથ જોડી માફી માગતા નજરે પડ્યા હતા. પોલીસે તેમને 'કૂકડા' બનાવીને ચલાવ્યા હતા. આ ઘટનાએ શહેરમાં પોલીસની કડક કાર્યવાહી અને જાહેર સુરક્ષા પર ચર્ચા શરૂ કરી દીધી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર આરોપીઓએ સોડાની બોટલો ફેંકી હતીશહેરના ગાંધીગ્રામ પોલીસ મથક પર 16 જાન્યુઆરીના રાત્રે 10:30 વાગ્યે અજાણ્યા શખસો દ્વારા સોડાની બોટલના ઘા કરી પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જેનાથી પોલીસની આબરૂના લીરેલીરા ઉડી ગયા હતા. જોકે, આ ઘટના બાદ તુરંત જ ગાંધીગ્રામ પોલીસે CCTVના આધારે કુખ્યાત બુટલેગર હર્ષદ માંડલીયા ઉર્ફે મહાજનના પુત્ર જેનીશ માંડલિયા અને તેની સાથેના ચાર સાગરીતો દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. દીવ ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને ચાર શંકાસ્પદ વ્યક્તિઓને શોધી કાઢ્યા હતાઆ મામલે ગાંધીગ્રામ પોલીસે ક્રાઈમ રજિસ્ટર નં. 39/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 125, 3(5), 62 તથા જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 1984ની કલમ 3(2)(e) મુજબ ગુનો નોંધ્યો હતો. આ ઘટના બાદ માહિતી મળતાં દીવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દીવ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી અને સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. 35/2025 મુજબ આલીશાન હોટલ સામેના પાર્કિંગ વિસ્તારમાં મહિન્દ્રા થાર વાહન (GJ-03-PJ-0022) સાથે ચાર શંકાસ્પદ વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા. તેમને અટકાયત કરી દીવ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને કૂકડા બનાવી રસ્તા પર ચલાવ્યા હતાજેથી, પોલીસે તુરંત જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આજે રવિવારે સાંજે તેમનું એસ.કે. ચોક પાસે દોરડા બાંધી રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિલા પોલીસ આરોપીઓને દોરડા સાથે બાંધી ચાલતી દેખાઈ હતી. જે દરમિયાન આરોપીઓને પોલીસે ખૂબ જ માર્યા હોય તેમ તેઓ લંગડાતા પગે ચાલતા હતા. જે બાદ આરોપીઓને કૂકડા બનાવી રસ્તા પર ચલાવ્યા હતા.
ધ્રોલ નગરપાલિકા સામે આવેલી 'તુલજાભવાની જ્વેલર્સ' નામની દુકાનમાં 14 જાન્યુઆરી 2026ની રાત્રે થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં જામનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ને સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી દાહોદ જિલ્લાના વતની એવા 3 ખેતમજૂરોને ઝડપી પાડી કુલ 27.96 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સીસીટીવીને કપડું ઢાંકી ચોરીધ્રોલ નગરપાલિકા કચેરી સામે પ્રકાશ હેમતલાલ સોનીની માલિકીની તુલજાભવાની જ્વેલર્સ આવેલી છે. ગત 14 જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ દુકાનની પાછળની દીવાલમાં લોખંડના સળિયા વડે બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરી કરતી વખતે પકડાઈ ન જવાય તે માટે આરોપીઓએ સીસીટીવી કેમેરા પર કપડાં ઢાંકી દીધા હતા અને 26.96 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ કાર્યવાહી અને ધરપકડઆ ગુનાને ઉકેલવા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB PI વી.એમ. લગારીયા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમ બ્લોચ સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા શખ્સો ચોરીનો મુદ્દામાલ લઈ મોટરસાયકલ પર જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ધ્રોલના ચામુંડા પ્લોટ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં પસાર થતા 3 શખ્સોને આંતર્યા હતા. તેમની તલાશી લેતા સોના-ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓ હિંમત પાંગળા મહેડા (ઉંમર 25, રહે. કેશિયા, તા. જોડિયા) શૈલેષ નવલસિંગ મહેડા (ઉંમર 23, રહે. લખતર, તા. જોડિયા) ટીનુ પાંગળા મહેડા (ઉંમર 25, રહે. રંગપુર, તા. પડધરી) (નોંધ: ત્રણેય આરોપીઓ મૂળ મોટીમલુ, તા. ધાનપુર, જિ. દાહોદના વતની છે.) આરોપીઓ ખેતમજૂરીના બહાને આ વિસ્તારમાં રહીને રેકી કરતા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ PSI એમ.વી. ભાટીયાએ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંસ્કારનગરી વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર એક શખશનો અભદ્ર વર્તન કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બાઈક પર બેઠેલો યુવક અશ્લીલ ચેનચાળા કરતો હોવાનો યુવતીએ વાઇરલ કરેલા વીડિયોમાં દાવો કર્યો છે. વીડિયોને આધારે સયાજીગંજ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. યુવકની અશ્લીલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલવડોદરા શહેરના કમાટીબાગ રોડ પર MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આ ગર્લ્સ હોસ્ટેલની બહાર એક યુવક બાઈક પર બેઠો હતો અને અભદ્ર વર્તન કરી રહ્યો હતો. જેનો વીડિયો એક યુવતીએ ઉતાર્યો હતો. આ વીડિયો બનાવી યુવકની અશ્લીલ હરકતને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. શખસની હરકત જોઈને છોકરીઓ ગભરાઈ ગઈ હતીવીડિયોમાં યુવતી કહે છે કે, અમારી હોસ્ટેલની બહાર જ આટલી ખરાબ હરકત જોઈને મારું મગજ ખરાબ થઈ ગયું. અમે ફતેગંજથી જમવાનું લઈને આવી રહ્યા હતા, તે સમયે આ ઘટના બની હતી. તેને પોતાની પેન્ટની ઝીપ ખુલ્લી રાખી હતી. આ સમયે હોસ્ટેલની છોકરીઓ બહાર હાજર હતી. તેને બિલકુલ શરમ નહોતી કે, તે શું કરી રહ્યો છે. એ શખસની હરકત જોઈને છોકરીઓ ગભરાઈ ગઈ હતી, પરંતુ તે શખસને કોઈ ડર ન હતો. 'છોકરીઓ આવી રહી હતી છતાં શખસને કોઈ શરમ નહોતી'યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોએ હિંમત દાખવીને તેને આ બાબતે વાત કરવા જતા તે ભાગી ગયો હતો. સામેથી છોકરીઓ આવી રહી હતી તેમ છતાં શખસને કોઈ શરમ નહોતી. પબ્લિક પ્લેસમાં આવું કરી રહ્યો છે. લોકો આ પ્રકારના અભદ્ર વર્તન કરે છે અને તેમને એવું લાગે છે કે તમને કોઈ કંઈ નહીં કહે. વીડિયોમાં દેખાતા શખસની શોધખોળ શરૂ કરી: પીઆઇસયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. પંડ્યાએ આ મામલે જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયોને લઈને અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ વીડિયો અમારા ધ્યાને આવતા અમે વીડિયોમાં દેખાતા શખસની શોધખોળ શરૂ કરી છે.
ગોધરા APMC શૌચાલય બે વર્ષથી બંધ:લાખોના ખર્ચે બનેલું શૌચાલય પાણીના અભાવે ધૂળ ખાય છે
ગોધરા APMC માર્કેટ યાર્ડમાં લાખોના ખર્ચે બનેલું શૌચાલય છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. આના કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. APMC ચેરમેન અનુસાર, બોરવેલ ફેલ થવાને કારણે પાણીની સુવિધા નથી, અને તેને ફરીથી કાર્યરત કરવાના પ્રયાસો ચાલુ છે. ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે તૈયાર કરાયેલું આ નવીન શૌચાલય લાંબા સમયથી બંધ છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ માર્કેટ યાર્ડમાં પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શૌચાલય બંધ હોવાને કારણે અહીં આવતા લોકો અને મજૂરોને ખુલ્લામાં શૌચક્રિયા કરવી પડે છે. જેના પરિણામે યાર્ડ પરિસરમાં ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. ખાસ કરીને દૂરના ગામડાઓથી આવતી મહિલાઓ અને વૃદ્ધ ખેડૂતોને શૌચાલયની સુવિધા ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોની માંગ છે કે આ શૌચાલયને તાત્કાલિક ધોરણે કાર્યરત કરવામાં આવે અને તેની યોગ્ય સાફ-સફાઈની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે.
ઝીંઝુવાડા રણમાં વાછડા દાદાના દર્શન કરીને સાવડા પરત ફરી રહેલા એક પરિવારને વિસાવડી ગામ નજીક ટ્રેક્ટર સાથે ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહેશકુમાર મહાદેવભાઈ દસાડીયા તેમના પરિવાર સાથે, જેમાં તેમની પત્ની રેખાબેન, ભત્રીજો કુલદીપ, તેની પત્ની વૈશાલીબેન અને દીકરી દિયાંસીનો સમાવેશ થાય છે, તેઓ ટાટા પંચ ગાડીમાં ઝીંઝુવાડાના રણમાં આવેલા વાછડા દાદાના દર્શન કરવા ગયા હતા. તેમની સાથે મહેશકુમારના કાકાના દીકરા અનિલભાઈ અને તેમના પત્ની શીલાબેન પણ બીજી સ્વિફ્ટ ગાડીમાં હતા. આશરે સાંજે ૫:૩૦ વાગ્યાની આસપાસ તેઓ સાવડા ગામ પરત ફરી રહ્યા હતા. ઝીંઝુવાડા અને વિસાવડી ગામ પસાર કર્યા બાદ, વિસાવડીથી આશરે એક કિલોમીટર દૂર જૈનાબાદ ગામ તરફના વળાંક પાસે આ અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતું એક ટ્રેક્ટર બંધ લાઈટે, પૂરઝડપે અને રોડની વચ્ચે ચાલી રહ્યું હતું, જે મહેશકુમારની ગાડી સાથે અથડાયું હતું. ટ્રેક્ટર સાથેની ટક્કર બાદ મહેશકુમારની ગાડી રોડની બાજુની ખાઈમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં મહેશકુમારને માથાના ભાગે ઈજા થઈ હતી અને તેમને છ ટાંકા આવ્યા હતા. તેમની પત્ની રેખાબેનને ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું, જ્યારે ભત્રીજાની પત્ની વૈશાલીબેનને કપાળના ભાગે દસ ટાંકા જેવી ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક માંડલ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, રેખાબેનને વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના ડાબા હાથે પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે મહેશકુમાર દસાડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરમાં નવ દિવસીય શિવ મહાપુરાણ કથા સંપન્ન:સમૂહ આરતી સાથે પૂર્ણાહુતિ, દાતાઓનું સન્માન કરાયું
હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલ જેશિંગબાપા વાનપ્રસ્થ ભવન ખાતે નવ દિવસીય શિવ મહાપુરાણ કથાનું સમાપન થયું. કથાની પૂર્ણાહુતિ સમૂહ આરતી સાથે કરવામાં આવી હતી, જેમાં દાતાઓ અને સહયોગીઓનું સન્માન કરાયું. ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને શિવ ભક્તો દ્વારા આ કથાનું આયોજન 10 થી 18 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું. વડોદરાના પૂજ્ય રમેશભાઈ શાસ્ત્રીએ નવ દિવસ સુધી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું. કથાની પૂર્ણાહુતિ રવિવારે થઈ હતી, જેમાં ભક્તો અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ અને ડૉ. સુમનચંદ્ર રાવલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભોલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ અને મુખ્ય દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ (હાંસલપુર), બદ્રીનારાયણ મિસ્ત્રી, ગોપાલસિંહ રાઠોડ, ગિરીશભાઈ ભાવસાર, સુમનચંદ્ર રાવલ, ડૉ. ચીમનભાઈ પટેલ, હરેશભાઈ સોમપુરા, દિલીપભાઈ સોની, કૈલાસભાઈ દુદાણી, શશીકાંત સોલંકી અને મનુભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. કથાની પૂર્ણાહુતિ બાદ સમૂહ આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ થયું. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો.
સમાજમાં વ્યાપ્ત કુરિવાજો દૂર કરવા અને પરિવારોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પાટણ ખાતે ત્રણ પરગણા બ્રહ્મસમાજ દ્વારા નવા સામાજિક નીતિ-નિયમો ઘડવામાં આવ્યા છે. બ્રહ્મચારી શ્યામસ્વરૂપ બાપુ અને મુકુંદપ્રકાશ મહારાજની નિશ્રામાં 31 ડિસેમ્બર 2025ના રોજ મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો, જેનું નવું બંધારણ 18 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે. લગ્ન અને સગાઈમાં દેખાડા પર પ્રતિબંધનવા નિયમો મુજબ લગ્ન અને સગાઈ પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર સંપૂર્ણ રોક લગાવાઈ છે. સગાઈ: દીકરીને પાટે બેસાડી ડેકોરેશન કરવા કે ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે. કપડાં આપવાને બદલે માત્ર 100 રૂપિયા રોકડા આપવાના રહેશે. લગ્ન વિધિ: પ્રી-વેડિંગ શૂટ, હલ્દી અને મહેંદી જેવા ખર્ચાળ આયોજનો બંધ કરી જૂની પદ્ધતિ મુજબ માત્ર પીઠી ચોળવાનો રિવાજ રાખવો પડશે. ભોજન અને જાન: લગ્નમાં ભોજનની વાનગીઓ મર્યાદિત કરી માત્ર 5 આઈટમ રાખવી. ચાઈનીઝ, પંજાબી કે કાઠિયાવાડી વાનગીઓ પીરસી શકાશે નહીં. જાનમાં વાહનોની સંખ્યા 11 સુધી મર્યાદિત રાખવી અને ફટાકડા ફોડવા પર મનાઈ છે. કરિયાવર: ટીવી, ફ્રીજ કે સોફાસેટ જેવી વસ્તુઓ આપવાને બદલે શક્તિ મુજબ રોકડ રકમ આપવાની જોગવાઈ કરાઈ છે. કન્યા વિક્રય સામે કડક વલણસમાજ માટે કલંકરૂપ 'કન્યા વિક્રય' રોકવા બંધારણમાં અત્યંત કડક જોગવાઈ છે. દીકરીના સગપણમાં નાણાંની લેતી-દેતી કરનાર પક્ષ અથવા વચેટિયા તરીકે ભૂમિકા ભજવનાર તમામ વ્યક્તિઓને ગુનેગાર ગણી તેમની પાસેથી 2,00,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. મરણ પ્રસંગ અને અન્ય ઉજવણીઓમરણ પ્રસંગે છાજિયા કૂટવા, પાર ગાવા કે બહેન-દીકરીઓને કાપડાના પૈસા આપવાની પ્રથા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈપણ શુભ પ્રસંગે ભવ્ય 'વેલકમ એન્ટ્રી' કે બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવા પર પણ રોક લગાવાઈ છે. નિયમ ભંગ બદલ સામાજિક બહિષ્કારઆ નિયમો ગામડા અને શહેરમાં વસતા તમામ પરિવારો માટે બંધનકર્તા છે. જો કોઈ સભ્ય આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક દંડ અને સામાજિક બહિષ્કાર જેવા શિક્ષાત્મક પગલાં જે તે પરગણા દ્વારા ભરવામાં આવશે.
ભાવનગરમાં ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરતા યુવતીની કાર તોડી:જાનથી મારવાની ધમકી આપનાર બે આરોપી ઝડપાયા
ભાવનગરમાં ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરવા જેવી નજીવી બાબતે એક મહિલા આર્ટિસ્ટની કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઘોઘારોડ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ભાવનગર શહેરના રૂપાણી સર્કલ પાસે આવેલી શાંતિજ્યોત બિલ્ડિંગ નજીક રહેતી આર્ટિસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેના ઇન્સ્ટાગ્રામ મિત્ર નિત બારૈયા સોશિયલ મીડિયા પર ગાળો બોલતો હોવાથી તેને બ્લોક કરી દીધો હતો. આ બાબતનો ખાર રાખી નિત બારૈયા અને તેના સાથીદારે ફરિયાદીની એમ.જી. હેક્ટર કારના કાચ અને બોનેટને તલવાર અને લોખંડના પાઇપ વડે તોડી નાખી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, તેઓએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ભુજમાં સાયબર ફ્રોડ: યુવકની ધરપકડ:32 લાખના મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સાયબર ગુનાઓ પર કડક કાર્યવાહી અંતર્ગત ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ ભુજમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન હેઠળ ભુજના હસન અબ્દુલ કાદર મુગલની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના સિટી યુનિયન બેંકના ખાતામાં કુલ ₹32 લાખ જેટલી મોટી રકમ જમા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ રકમ સાયબર ફ્રોડના માધ્યમથી મેળવવામાં આવી હતી. આરોપીએ ટૂંકા સમયગાળામાં આ રકમ ઉપાડીને સગા-સંબંધીઓમાં વહેંચી દીધી હોવાનું પણ બહાર આવ્યું છે. સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા સાયબર ક્રાઈમના વિવિધ પોર્ટલો પરથી પ્રાપ્ત માહિતી અને સંકલિત ડેટાના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. ટેકનિકલ અને ડિજિટલ પુરાવાઓના આધારે કીર્તિ મંદિર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તેને માનનીય કોર્ટમાં રજૂ કરાતા હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન, 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ શંકાસ્પદ બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી હતી. તપાસની શરૂઆતમાં મેમણવાડામાં રહેતા સિરાજ સલીમ સમા નામના વ્યક્તિના ઠક્કર પ્લોટ વિસ્તારમાં આવેલા SBI ખાતામાં શંકાસ્પદ રીતે મોટી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ આધારે કીર્તિ મંદિર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સાયબર ફ્રોડ અને ઠગાઈ સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. વધુ ડેટા એકત્રિત કરીને તપાસ આગળ વધારતા, પોલીસ હસન અબ્દુલ કાદર મુગલ સુધી પહોંચી અને તેની કાયદેસર રીતે અટકાયત કરવામાં આવી. પોલીસ દ્વારા આ કેસમાં સાયબર ફ્રોડના નેટવર્ક, અન્ય સંડોવાયેલા લોકો અને રકમના ટ્રાન્ઝેક્શનની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે. સાયબર ગુનાઓ સામે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની આ કાર્યવાહીથી સામાન્ય નાગરિકોમાં જાગૃતિ વધશે. આ ઉપરાંત, મ્યુલ એકાઉન્ટ દ્વારા થતી ઠગાઈ સામે કડક સંદેશો પહોંચશે તેવું માનવામાં આવી રહ્યું છે.
રાણાવાવમાં ચાલુ ટ્રેને ઉતરતી બાળકીનો બચાવ CCTV:સ્ટેશન મેનેજરની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો
પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી હતી. ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરી રહેલી એક બાળકીને સ્ટેશન મેનેજરે સમયસર બચાવી લીધી હતી. આ ઘટના સ્ટેશનના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના રાણાવાવ રેલવે સ્ટેશન પર બની હતી જ્યારે એક ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડી રહી હતી. એક મહિલા ચાલુ ટ્રેને ઉતાવળમાં નીચે ઉતરી હતી. તેમની પાછળ તેમની નાની બાળકી પણ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. ટ્રેન ગતિ પકડી રહી હોવાથી બાળકીનું સંતુલન બગડ્યું હતું. તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઈ જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. તે જ સમયે પ્લેટફોર્મ પર ફરજ પર હાજર સ્ટેશન મેનેજરની નજર આ દ્રશ્ય પર પડી. તેમણે તરત જ દોડીને બાળકીને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા પહેલા સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર ખેંચી લીધી. મેનેજરની આ સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટના સ્ટેશન પરના CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જો મેનેજરે સમયસર કાર્યવાહી ન કરી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ચાલુ ટ્રેને ચડવા કે ઉતરવા સામે ચેતવણી આપવામાં આવી છે. સ્ટેશન મેનેજરની આ કામગીરીની મુસાફરો અને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
ગોદલીમાં PSI પર હુમલો, બુટલેગર મહેશ રાઠવા સામે ગુનો:રાજગઢ પોલીસ મથકે બે અલગ-અલગ કેસ દાખલ
ઘોઘંબા તાલુકાના ગોદલી વિસ્તારમાં પ્રોહિબિશનની રેડ દરમિયાન ફરજ પરના PSI એસ.એમ. ડામોર પર હુમલો કરવા બદલ બુટલેગર મહેશ રાઠવા અને અન્ય એક શખ્સ વિરુદ્ધ રાજગઢ પોલીસ મથકે બે અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. રાજગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI એસ.એમ. ડામોર ગઈકાલે કદવાલથી ગોદલી તરફના માર્ગ પર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા વોચમાં હતા. આ દરમિયાન દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહેલા બુટલેગર મહેશ રાઠવાને અટકાવવાનો પ્રયાસ કરતા, બુટલેગરે ઊભા રહેવાને બદલે PSI પર પૂરઝડપે બાઇક ચઢાવી દીધું હતું. આ હુમલામાં PSI ડામોરને હાથ અને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર સહિત ઇજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક ગોધરાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.હુમલો કરી ભાગવાના પ્રયાસમાં બુટલેગર મહેશ રાઠવાની બાઇક નજીકના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં તેને પણ ઇજાઓ પહોંચી હતી. હાલ તેને પોલીસ જાપ્તા હેઠળ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ અધિકારી પર ઇરાદાપૂર્વક હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા બદલની કલમો હેઠળ એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરવા બદલ પણ બીજો ગુનો દાખલ કરાયો છે. રાજગઢ પોલીસ દ્વારા આ મામલે અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વર્તમાન સમયમાં જ્યારે દેશમાં જ્ઞાતિ-જાતિ અને ધર્મના નામે વૈમનસ્યની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે મહેસાણાના નાગલપુર કસ્બા વિસ્તારમાંથી કોમી એકતા અને ભાઈચારાના અતૂટ સંબંધોની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અહીં એક હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની બહેનના સંતાનોના લગ્નમાં 1.01 લાખ રૂપિયાનું મામેરું ભરીને સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરાવ્યો છે. 25 વર્ષ અગાઉ સુલતાનાબીબી અને સુરતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયોઆ કહાની કોઈ ફિલ્મી પટકથા જેવી લાગે પરંતુ તે મહેસાણાના કસ્બામાં વાસ્તવિક સ્વરૂપે જોવા મળી છે. આશરે 25 વર્ષ અગાઉ મજૂરી કામ કરતા મહેસાણાના સુલતાનાબીબી અને વડોસણ ગામના સુરતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયો હતો. સાથે મજૂરી કરતાં-કરતાં તેમની વચ્ચે ભાઈ-બહેનનો એક પવિત્ર અને અતૂટ સંબંધ બંધાયો હતો. આ સંબંધ માત્ર નામ પૂરતો જ મર્યાદિત ન રહ્યો. પરંતુ સમય જતાં વધુ મજબૂત બન્યો હતો. સુરતાનજી ઠાકોરે ધર્મની બહેન પ્રત્યેની મામાની જવાબદારી સ્વીકારીતાજેતરમાં સુલતાનાબીબીના પુત્ર અરમાન અને તેમની પુત્રીના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતાનજી ઠાકોરે પોતાની ધર્મની બહેન પ્રત્યેની ફરજ અદા કરતા મામા તરીકેની જવાબદારી સ્વીકારી હતી. સુલતાનાબીબીના પોતાના સગા ભાઈઓ હોવા છતાં.સુરતાનજીએ આગળ આવીને એક લાખ એક હજાર રૂપિયાની રોકડ રકમ સાથે મામેરું કર્યું હતું. લોકો ભાઈચારાની મિશાલને બિરદાવીહિન્દુ-મુસ્લિમની આ અનોખી જોડીએ સાબિત કરી દીધું છે કે લોહીના સંબંધો કરતા પણ લાગણી અને માનવતાના સંબંધો ક્યારેક વધુ ઊંડા હોય છે. બહેન સુલતાનાબીબી અને તેમના પુત્ર અરમાને સુરતાનજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે સુરતાનજી ઠાકોરે જણાવ્યું હતું કે ધર્મ ગમે તે હોય પણ બહેન પ્રત્યેની ભાઈની ફરજ સૌથી મોટી છે. 25 વર્ષ જૂના આ પવિત્ર સંબંધે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને લોકો આ ભાઈચારાની મિશાલને બિરદાવી રહ્યા છે.
મુંબઈમાં આયોજિત 21મી ટાટા મુંબઈ મેરેથોન-2026 માં પાટણ જિલ્લાના હાજીપુર ગામની દીકરી નિરમાએ શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ જીત્યો છે. વૈશ્વિક કક્ષાની આ સ્પર્ધામાં તેણે 42.195 કિલોમીટરની ફૂલ મેરેથોન માત્ર 2 કલાક 49 મિનિટ અને 13 સેકન્ડમાં પૂર્ણ કરીને પોડિયમ પર સ્થાન મેળવ્યું છે. પ્રોફેશનલ કરિયર સાથે રમતગમતમાં સિદ્ધિનિરમા હાલમાં ગુજરાત ખેતી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને આ સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. બેંકની જવાબદારીઓ સંભાળવાની સાથે તેણે રમતગમત પ્રત્યેની પોતાની રુચિ જાળવી રાખી છે. વર્ષોની સખત મહેનત અને નિયમિત પ્રેક્ટિસના આધારે તેણે આંતરરાષ્ટ્રીય કક્ષાના દોડવીરો વચ્ચે પોતાની ક્ષમતા પુરવાર કરી છે. સમગ્ર પાટણ જિલ્લામાં ખુશીનો માહોલમુંબઈમાં રવિવારે સવારે યોજાયેલી આ દોડમાં નિરમાની સફળતાના સમાચાર મળતા જ તેના વતન હાજીપુર સહિત સમગ્ર પાટણ જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. એક ગ્રામીણ વિસ્તારની યુવતીએ શૂન્યમાંથી સર્જન કરી મેરેથોન જેવી કઠિન સ્પર્ધામાં મેડલ મેળવતા સોશિયલ મીડિયા પર પણ તેને અભિનંદન મળી રહ્યા છે. મેરેથોન સ્કોરકાર્ડ સ્પર્ધા: 21મી ટાટા મુંબઈ મેરેથોન અંતર: 42.195 km સમય: 2 કલાક, 49 મિનિટ, 13 સેકન્ડ મેડલ: સિલ્વર (રજત ચંદ્રક)
વેરાવળમાં વાહન ચોરીનો ગુનો કલાકોમાં ઉકેલાયો:જૂનાગઢથી આરોપી યુવક મુદ્દામાલ સાથે ઝડપાયો
ગીર સોમનાથ પોલીસે વેરાવળ શહેર વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરાયેલા વાહન સાથે આરોપી યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઝડપી કાર્યવાહીથી શહેરમાં વાહન ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી અને સર્વેલન્સ સ્ક્વોડના પો.સબ.ઇન્સ્પેક્ટર આર.આર. રાયજાદાની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. ટીમે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. 27/12/2025ના રોજ વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી.નં. GJ-03-CM-9159)ની ચોરી થઈ હતી. આ અંગે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તા. 17/01/2026ના રોજ ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપી પિયુષભાઈ ભાવેશભાઈ સોલંકી (ઉં.વ. 19)ને ઝડપી પાડ્યો હતો. આરોપીને જૂનાગઢના પાદરિયા ગામેથી પકડી પાડવામાં આવ્યો હતો. ગીર સોમનાથ પોલીસની આ સફળ કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે અને પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મિશન 2027ના લક્ષ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રણશિંગુ ફૂંકવામાં આવ્યું હતું. વિકાસ કાર્યો અને બજેટ પર ભારસંમેલનમાં ઉપસ્થિત ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અરવિંદ પટેલ અને આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જનતાનો પ્રતિસાદ ભાજપ સરકારની કામગીરી પરનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના વિકાસ માટે દર વર્ષે 40,000 કરોડ રૂપિયા વાપરવાનું આયોજન ધરાવે છે. આ રકમનો ઉપયોગ રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો માટે કરવામાં આવશે. વિસ્થાપન રોકવા સિંચાઈનું નવું મોડેલકપરાડા અને ધરમપુર જેવા ડુંગરાળ વિસ્તારોમાં સિંચાઈની સુવિધા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. નેતાઓએ જણાવ્યું કે, આ વિસ્તારોમાં મોટા ડેમ બનાવવાને બદલે નાના ચેકડેમ અને વિયર બનાવવાની યોજના પર ભાર મૂકવામાં આવશે. આ અભિગમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ આદિવાસી પરિવારે વિસ્થાપિત ન થવું પડે કે પોતાની જમીન ગુમાવવી ન પડે. 27 બેઠકો પર વિજયનું લક્ષ્યઆગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ જંગી બહુમતી મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં, 'મિશન 2027' અંતર્ગત આદિવાસી વિસ્તારની તમામ 27 બેઠકો જીતવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે વિરોધ પક્ષો દ્વારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને આદિવાસી પટ્ટામાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે.
ડીસા મહાસંમેલનમાં રબારી પહેરવેશમાં આવવા હાંકલ:ધારાસભ્ય માવજી દેસાઈએ ચંડીસર બેઠકમાં આમંત્રણ આપ્યું
રબારી સમાજના ધાન્ધાર-પાટણવાડા પરગણાની એક બેઠક ચંડીસર ઝાપડી માતાજીના મંદિર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ડીસા ખાતે યોજાનાર રબારી સમાજ મહાસંમેલન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમાજના ભાઈઓ અને બહેનોને રબારી પહેરવેશમાં પધારવા માટે ખાસ હાકલ કરવામાં આવી હતી. આગામી 25 જાન્યુઆરી, રવિવારના રોજ ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતના રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે તેવી અપેક્ષા છે. આ મહાસંમેલનના નિમિત્તે, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને યુવા આગેવાન નરસિંહભાઈ જોટાણા રવિવારે ચંડીસર ખાતે રબારી સમાજ ધાન્ધાર-પાટણવાડા પરગણાને આમંત્રણ આપવા આવ્યા હતા. ચંડીસર ખાતે યોજાયેલી બેઠકમાં રબારી સમાજ ધાન્ધાર-પાટણવાડા પરગણાના આગેવાનો અને યુવાનોએ પરિવાર સાથે સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો હુકાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈએ રબારી સમાજના સામાજિક બંધારણમાં સાથ સહકાર આપવા માટે ઘર ઘર સુધી સંદેશ પહોંચાડવા અને ખરા અર્થમાં બંધારણનું પાલન કરવા માટે સમાજને અપીલ કરી હતી. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડીસાના આંગણે રબારી સમાજનું આ એક ઐતિહાસિક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં રબારી સમાજના ભાઈઓ અને બહેનોને તેમના પરંપરાગત રબારી પહેરવેશમાં આવવા વિનંતી છે.
નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે સુરતમાં આજે નવસારી જિલ્લાના સરપંચો, કોર્પોરેટરો અને પક્ષના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. 'સરપંચો સાથે સંવાદ' કાર્યક્રમ હેઠળ યોજાયેલી આ બેઠકમાં તેમણે સરકારી યોજનાઓના અમલીકરણ અને સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. મતદાર યાદીમાં પારદર્શિતા લાવવા સૂચના બેઠક દરમિયાન પાટીલે SIR એટલે કે મતદાર યાદી સુધારણાની કામગીરી પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકરો અને સરપંચોને વિનંતી કરી હતી કે, મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ યાદીમાંથી કમી કરવામાં આવે. કોઈપણ જગ્યાએ ડુપ્લીકેટ કે બોગસ નામો હોય તો તેને દૂર કરવામાં આવે. 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી કમિશન દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં ભાજપના આગેવાનો પૂરી તાકાતથી સહયોગ કરે જેથી મતદાર યાદી એકદમ સ્વચ્છ અને સચોટ બને. જળ સંચય અને 'નલ સે જલ' યોજના જળ શક્તિ મંત્રાલયની યોજનાઓનો ઉલ્લેખ કરતા પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'જલ સે નલ' યોજના નવસારીના દરેક ઘર સુધી પહોંચે તે પ્રાથમિકતા છે. તેમણે 'રેઈન વોટર હાર્વેસ્ટિંગ' વરસાદી પાણીના સંગ્રહ માટે પણ ખાસ આહ્વાન કર્યું હતું. નવસારી જિલ્લાને મનરેગા હેઠળ 18 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દરેક એકર દીઠ એક વોટર સ્ટ્રક્ચર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 31મી માર્ચ પહેલા આ કામગીરી પૂર્ણ કરવા વહીવટી તંત્ર અને સરપંચોને સૂચના આપી છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નવસારી અગ્રેસર મહિલા સશક્તિકરણ અંગે વાત કરતા તેમણે ગર્વ સાથે જણાવ્યું કે નવસારી સંસદીય વિસ્તારમાં ૪૪,૦૦૦ થી વધુ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ યોજનાના લાભો છેવાડાની દીકરીઓ સુધી પહોંચાડવા માટે તેમણે વાલીઓને વધુ સક્રિય થવા વિનંતી કરી છે. અંતમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચે અને નવસારી જિલ્લો વિકાસના તમામ માપદંડોમાં દેશમાં પ્રથમ ક્રમે રહે તે અમારો સંકલ્પ છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પ્લાનિંગની પણ તેમણે પ્રશંસા કરી હતી.
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરમાં માત્ર 40 રૂપિયાના સિગરેટ-સીંગ ભજીયા ન મળતા એક નબીરાએ પાન પાર્લર પર ધમાલ મચાવી. દુકાનદારે માલ-સામાન ઉધાર ન આપ્યાની અદાવત રાખીને પાન પાર્લરમાં તોડફોડ કરી. દુકાનના કાઉન્ટરથી લઈને સામાન પર લાકડીના ઘા ઝીકી સામાનને નુકશાન પહોંચાડ્યું. ફક્ત એટલુ જ નહીં દુકાનદારના દીકરાએ તોડફોડ કરતા રોકતા તેને પણ માથામાં લાકડી મારીને પોતાનો રોષ ઠાલવ્યો. નબીરાની આ તમામ હરકતો દુકાનના CCTVમાં રેકોર્ડ થઈ ગઈ હતી. સિગરેટ અને સીંગ ભજીયા ઉધાર આપવાની દુકાનદારે ના પાડીશહેરના ન્યુ રાણીપમાં રહેતા દિનેશભાઈ માળી સોસાયટીના પાછળના ભાગે પાન પાર્લર ચલાવે છે. 16 જાન્યુઆરીએ તે પાન પાર્લર પર હાજર હતા, તે દરમિયાન બે શખસો બાઈક પર આવ્યા હતા. જેમાંથી અભિષેક નામના વ્યક્તિએ સિગરેટ અને સીંગ ભજીયા લીધા હતા, જેના 40 રૂપિયા થયા હતા.અભિષેકે દુકાનદારને માલ-સામાનના પૈસા ઉધાર ખાતામાં લખી લેવાનું કહ્યું. જોકે, દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા અભિષેક રોષે ભરાયો પરંતુ, તેની સાથે આવેલા બલવિન્દરે માલ-સામાનના 40 રુપિયા ચૂકવ્યા. બંનેએ દિનેશભાઈને ગંદી ગાળો આપી અને ગલ્લો તોડવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગયા હતા. પાન પાર્લરના કાઉન્ટર ઉપર લાકડીઓ મારી કાઉન્ટર તોડી નાખ્યું હતુંથોડા સમય બાદ દુકાનદાર દિનેશનો દીકરો ધીરજ ઘરેથી તેના પિતા માટે જમવાનું લઈને આવ્યો હતો. દિનેશભાઈ દીકરાને દુકાને બેસાડી બાજુની દુકાનમાં જમવા માટે ગયા હતા. આ દરમિયાન બલવીંદર અને અભિષેક બંને બાઈક પર પાછા પાન પાર્લર પર પરત આવ્યા હતા અને લાકડી લઈને દુકાનમાં તોડફોડ શરુ કરી હતી. બંને જણાએ પાન પાર્લરના કાઉન્ટર ઉપર લાકડીઓ મારી કાઉન્ટર તોડી નાખ્યું હતું.કાચની બોટલ ઉપર લાકડી મારી કેરેટ પણ તોડી નાખ્યા હતા. તોડફોડ અને મારામારી બાદ બંને ત્યાંથી રવાના થઈ ગયા હતાપાન પાર્લરમાં રાખેલું ટીવી તોડવા જતા હતા ત્યારે દુકાનદારના દીકરા ધીરજે ટીવી તોડવાની ના પાડતા તેને માથામાં લાકડીનો એક ફટકો મારી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તોડફોડ અને મારામારી બાદ બંને ત્યાંથી રવાના થઈ ગયા હતા. ધીરજને માથામાં ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સાબરમતી પોલીસે આ અંગે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બેંક ખાતું ભાડે આપી સાયબર ફ્રોડ:₹7.80 લાખની છેતરપિંડી, બે આરોપી ઝડપાયા
સાબરકાંઠાના હિંમતનગરમાં બેંક ખાતું ભાડે આપી સાયબર ફ્રોડ આચરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અલગ-અલગ રાજ્યોના નાગરિકો સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી કુલ 7,80,355 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલો શું છે ?સાયબર ક્રાઈમ પોલીસ કોન્સ્ટેબલ નિરપાલસિંહ ઝાલમસિંહની ફરિયાદ મુજબ, પાટણ જિલ્લાના સમી તાલુકાના કાળીશેરી ગામના વિપુલ શંકરભાઈ ચૌધરીએ 2 સપ્ટેમ્બર 2025થી 3 ઓક્ટોબર 2025 દરમિયાન હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલ સામે આવેલી સ્ટેટ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. આ ખાતું ખોલાવ્યા બાદ ગેરકાયદે આર્થિક લાભ મેળવવાના આશયથી હારીજ તાલુકાના કહરા ગામના કિરણ લક્ષ્મણભાઈ ચૌધરી સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા સાગર અમરતીયા પટેલને સાયબર ફ્રોડ કરવાના હેતુથી આ બેંક ખાતું ભાડે આપવામાં આવ્યું હતું. આ ત્રણેય શખસે મેળાપીપણું રચી સોશિયલ મીડિયા દ્વારા દેશના વિવિધ રાજ્યોના લોકોને લાલચ આપી છેતર્યા હતા અને છેતરપિંડીની રકમ આ ભાડે આપેલા ખાતામાં જમા કરાવી હતી. પોલીસ કાર્યવાહી અને ધરપકડસાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમ આરોપીઓએ પોતાના મળતિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. તપાસના આધારે પોલીસે મુખ્ય આરોપી વિપુલ ચૌધરીની ધરપકડ કરી શનિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેના 19 જાન્યુઆરી, સોમવાર સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ દરમિયાન પોલીસે રવિવારે બીજા આરોપી કિરણ લક્ષ્મણભાઈ ચૌધરીને પણ ઝડપી લીધો છે. તેને સોમવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ કેસમાં અન્ય સંડોવાયેલા શખ્સો અને નાણાકીય વ્યવહારો અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
શ્રદ્ધાંજલિ સભામાં પીડિતોનું આક્રંદ વડોદરા હરણી બોટ કાંડને આજે બે વર્ષ પૂર્ણ થતા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ.પીડિતોએ કહ્યું કે મુખ્યમંત્રીને બીક લાગે છે કે પીડિત પરિવારો મને મારી નાખશે. એટલે તેઓ વડોદરા આવ્યા નથી .આજે સીએમનો વડોદરામાં કાર્યક્રમ હતો, પણ તેને રદ કરી દેવાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફોર્ચ્યુનર ડિવાઇડર કૂદી STમાં અથડાઈ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.. ફોર્ચ્યુનર ડિવાઈડર કુદી સામેના રોડ પર ઉતરી ગઈ જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું. જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે.7 ઝોનના બૂથ કાર્યકરોનું સંમેલન થવાનું હતું પણ પાર્ટીપ્લોટ માલિકે અચાનક સભાનું બુકિંગ કેન્સલ કરી દીધું. ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર ધાકધમકી આપ્યાનો આક્ષેપ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બ્રિજના કામમાં વિલંબ થતાં ધારાસભ્ય બગડ્યા વેરાવળના બ્રિજ કામમાં વિલંબ થતાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાનો પિત્તો ગયો..GUDC એન્જિનિયરને જાહેરમાં ખખડાવી કહ્યું કે ખોટી દલીલ ન કરો, હું પાછળ પડીશ તો બીજા કામે લાગી જઈશ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુરખાધારી મહિલાએ બસ ડ્રાઈવર પર કર્યો હુમલો સુરતમાં એક બુરખાધારી મહિલાએ બીઆરટીએસ બસના ડ્રાઈવરને કોલર પકડી તમાચા માર્યા. માથામાં મોબાઈલનો ઘા કર્યો. આગલા દિવસે મહિલાએ બસ અધવચ્ચે ઉભી રાખવાની ના પાડી દેતા મહિલાને ગુસ્સો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન મહેસાણાના ખેરાલુમાં અલ્પેશ ઠાકોરના સંમેલન પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન.1008થી વધુ કારના કાફલાથી રોડ જામ, મલેકપુરથી અંબાજી સુધીની ‘શ્રીભવાની ધામ સંકલ્પ યાત્રા’માં હજારો લોકો જોડાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પંજાબથી એમ્બ્યુલન્સમાં પાંચેય મૃતદેહોને વતન લવાયા પંજાબના ભઠિંડા-ડબવાલી ભારત માલા નેશનલ હાઈવ પર શનિવારે થયેલા અકસ્માતમાં વાવ-થરાદના 5 લોકોના મોત નીપજ્યા. પંજાબથી મૃતદેહોને વતન લવાતા વાવ-થરાદના ત્રણ ગામોમાં માતમ છવાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 લાખની લૂંટ કેસમાં નવો વળાંક વડોદરામાં ગિફ્ટ શોપમાં થયેલી 10 લાખની લૂંટ કેસમાં નવો વળાંક..ક્રાઈમ બ્રાંચ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.આ લૂંટની સંપૂર્ણ રોકડ તથા વિદેશી ચલણી નોટો મળીને 2.71 કરોડ રુ. મળ્યા છે. જેથી હવે ગિફ્ટ શોપના માલિકની પૂછપરછ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બકરાની બલિ ચઢાવતા પોલીસે ગુનો નોંધ્યો અમદાવાદના બાપુનગરમાં માતાજીની માનતા પૂરી કરવા બકરાની બલિ ચઢાવવામાં આવી. સામાજિક સંસ્થાએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સતત બીજા દિવસે સુરતમાં હિલ સ્ટેશન જેવો માહોલ સુરતમાં આજે સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. જેના કારણે વાહન-વ્યવહાર અને ફ્લાઈટ્સને અસર પહોચી.. સુરત આવતી 2 અને સુરતથી જતી 2 ફ્લાઈટ ડિલે થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રવિવારે લોહીયાળ જંગ ખેલાયો હતો. કાપોદ્રાની એક એન્જીનીયરિંગ પેઢીમાં સાથે બેસીને જમી રહેલા મિત્રો વચ્ચે કોઈ કારણોસર તકરાર થતા, બે શખ્સોએ મળીને પોતાના જ મિત્રની લોખંડના સળિયાના ફટકા મારી કરપીણ હત્યા કરી નાખી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી શટર તોડી બંને આરોપીઓની અટકાયત કરી છે. દુકાનનું શટર અંદરથી બંધ કરીને જમવા બેઠા હતાકાપોદ્રા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 159 માં 'ચામુંડા એન્જીનીયરિંગ' નામની દુકાન આવેલી છે. અહીં રવિવારના રોજ અજય કુમાર (ઉં.વ. 35) તેમના મિત્રો સુરેશ સાકેત અને મનોજ સાકેત સાથે હાજર હતા. ત્રણેય મિત્રો બહારથી જમવાનું લાવી, દુકાનનું શટર અંદરથી બંધ કરીને જમવા બેઠા હતા. જમતી વખતે જ સર્જાયો લોહીયાળ ખેલમળતી માહિતી મુજબ, જમતી વખતે કોઈ બાબતે અજય કુમાર અને સાકેત બંધુઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો હતો કે ઉશ્કેરાયેલા સુરેશ અને મનોજે દુકાનમાં પડેલા લોખંડના સળિયા વડે અજય કુમારના માથાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. માથામાં ગંભીર ઇજા થવાને કારણે અજય કુમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે શટર તોડી આરોપીઓને દબોચ્યાહત્યાની આ ઘટના સમયે મૃતકનો એક અન્ય મિત્ર દુકાનની બહાર હતો. અંદર ચાલી રહેલી ઝપાઝપી અને અવાજ સાંભળી તેણે તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે આરોપીઓએ અંદરથી શટર બંધ રાખ્યું હતું અને તેઓ લાશ પાસે જ બેસી રહ્યા હતા. અંતે પોલીસે શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને બંને આરોપીઓ, સુરેશ સાકેત અને મનોજ સાકેતની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. તપાસમાં FSLની મદદ લેવાઈઘટનાની ગંભીરતા જોતા કાપોદ્રા પોલીસની સાથે FSLની ટીમને પણ બોલાવવામાં આવી હતી. FSL દ્વારા ઘટનાસ્થળેથી લોખંડનો સળિયો, લોહીના નમૂના અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે અને બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ વિવાદ પાછળનું ચોક્કસ કારણ શું હતું.
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલથી વુમન્સ પ્રીમિયર લીગની મેચો રમાશે. જેને લઈને તમામ ટીમો વડોદરા આવી રહી છે. આજે દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ વડોદરા એરપોર્ટ પર પહોંચી હતી. ચાર ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. આવતીકાલે પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાકીની 11 મેચ હવે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે. 3 ફેબ્રુઆરીનો એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચમાં પણ સામેલ છે. આ તમામ મેચ રમવા માટે આજે વડોદરા એરપોર્ટ પર દિલ્હી કેપિટલ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો પહોંચી હતી. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાની મનપસંદ ખેલાડીઓને જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી તમામ ટીમો હોટલ ઉપર જવા રવાના થઇ હતી. આ ક્રિકેટરોમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા જેમિમા રોડરીક, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, વડોદરાની રાધા યાદવ સહિતની ક્રિકેટરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદેશી ક્રિકેટરો પણ વડોદરા પહોંચ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સની એક વિદેશી ક્રિકેટર તો પોતાના પુત્ર સાથે પહોંચી હતી. જેને સૌ કોઈ લોકોને ધ્યાન ખેંચ્યું હતું આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદ પણ પહોંચ્યા હતા. ક્રિકેટ રસિક વૈશાલી રાજપૂત એ જણાવ્યું હતું કે, હું તો અહીં મારા મિત્રને મૂકવા આવી હતી. હું પૂરીથી તાજેતરમાં જ પુરીથી આવી છું એટલે જગન્નાથ બાબાના આશીર્વાદ હતા. એટલે મને મારી ફેવરિટ પ્લેયર શૈફાલી વર્મા અહીં મળી ગઈ. અહીં 3 ટીમો જોવા મળી. હું એટલું જ કહીશ કે ટીમ ઈન્ડિયાના જે મહિલા પ્લેયર્સ છે, એમને અમે બહુ સારી રીતે ઓળખીએ છીએ. આજે જ્યારે અમે તેમને મળ્યા ત્યારે બધાએ જે રીતે પ્રતિસાદ આપ્યો, એમને બધાએ 'હાય' કર્યું, તે જોઈને અમે ખૂબ જ આનંદિત અને ગ્રેડફુલ અનુભવીએ છીએ. ક્રિકેટ રસિક પ્રેમ સોલંકીએ જણાવ્યું હતું કે, હું અહીં મહિલા ક્રિકેટરોને જોવા માટે અને તેમનો ઓટોગ્રાફ લેવા માટે આવ્યો હતો. જોકે, રૂબરૂ મળવાનું તો ન થયું પણ તેમને જોઈ શકાયા. મારા ફેવરિટ ક્રિકેટર સ્મૃતિ મંધાના છે. મેં એમને નજીકથી જોયા હતા. મેં તેમને પહેલીવાર જોયા છે અને મને ખૂબ જ સારું લાગ્યું છે. આ પહેલા ગુજરાત જાયન્ટ્સની ગઈકાલે વડોદરા આવી પહોંચી હતી. આજે દિલ્હી કેપિટલ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો વડોદરા આવી પહોંચી છે અને આવતીકાલે સોમવારે યુપી વોરિયર્સની ટીમ પણ વડોદરા આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વુમન્સ પ્રીમિયર લીગની મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેના સારા આયોજન બાદ આ વર્ષે ફરી વડોદરાને વુમન્સ પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરવાની તક મળી છે. આ વર્ષે ફાઇનલ સહિતની 11 મેચ વડોદરામાં યોજાશે.
સાવન કૃપાલ રૂહાની મિશનના ગોધરા સેન્ટર દ્વારા માનવ સેવાના ભાગરૂપે ફળ અને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સંત રાજીન્દર સિંહજી મહારાજની પ્રેરણાથી ગોધરાની સિવિલ હોસ્પિટલ અને મુગાબેરા શાળામાં આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે 800થી વધુ લોકોએ લાભ લીધો હતો. મિશનના સેવાભાવી કાર્યકરોએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. અહીં બીમાર વ્યક્તિઓ અને તેમના પરિજનોને ફળ, બિસ્કિટ અને પ્રસાદનું વિતરણ કરાયું હતું. સેવા સાથે દર્દીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી મિશનના સભ્યોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, મુગાબેરા શાળાના બાળકોને પણ પૌષ્ટિક નાસ્તો અને ફળ આપવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદોને મદદ કરવાનો હતો.સેવા કાર્યની સાથે મિશન દ્વારા આધ્યાત્મિક પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોને નવા વર્ષના શુભકામના સંદેશ પાઠવવામાં આવ્યા હતા. મિશન દ્વારા 'સત સંદેશ' પુસ્તકનું નિઃશુલ્ક વિતરણ પણ કરાયું હતું, જેનો ઉદ્દેશ્ય લોકોને અંતર્મુખ થઈને પરમાત્માના આનંદનો અનુભવ કરાવવાનો છે.ઉલ્લેખનીય છે કે, સંત રાજીન્દર સિંહજી મહારાજ હાલ વિશ્વભરમાં યાત્રા કરી લાખો લોકોને ધ્યાન અને અભ્યાસની સરળ વિધિ શીખવી રહ્યા છે.
હરસોલ પોસ્ટ ઓફિસમાં 77.17 લાખની ઉચાપત:ચાર કર્મચારી સામે ફરિયાદ, બેના રિમાન્ડ મંજૂર
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની હરસોલ સબ પોસ્ટ ઓફિસમાં રૂ. 77.17 લાખની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. નવ મહિના અગાઉ ત્રણ પોસ્ટલ આસિસ્ટન્ટ અને સબ પોસ્ટમાસ્ટરે કાવતરું રચીને આ ઉચાપત કરી હતી. આ મામલે ચાર કર્મચારીઓ વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં બે આરોપીઓની ધરપકડ કરીને તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. મિતેશકુમાર મણીલાલ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, હરસોલ સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શુભમ કર્મબીર રાઠી (પાણીપત), મહેબૂબ વલીભાઈ મનસુરી (ઈડર), વિપુલ કનૈયાલાલ ભટ્ટ (તલોદ) અને સબ પોસ્ટમાસ્ટર નટવર સુરજીભાઈ અસારી (ભિલોડા)એ મળીને આ કૌભાંડ આચર્યું હતું. તેઓએ બચત ખાતાધારકોના અંદાજે રૂ. 77,17,387ની કાયમી ઉચાપત કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ સમગ્ર ઉચાપતનું કૌભાંડ ખાતાકીય તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું. ત્યારબાદ પોસ્ટ વિભાગ દ્વારા આ ચારેય કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આ મામલે તલોદ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તલોદ પોલીસે અણિયોડ ગામના પોસ્ટલ આસિસ્ટન્ટ વિપુલ કનૈયાલાલ ભટ્ટ અને શુભમ કર્મબીર રાઠીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેમને 20 જાન્યુઆરી, 2026 મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરતના દરિયાકિનારે સાહસ અને રોમાંચનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્પર્ધા દરમિયાન એક સઢવાળી હોડી અચાનક પલટી મારી જતાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે. 21 કિલોમીટર લાંબી હોડી સ્પર્ધા યોજાઈહરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત આ પરંપરાગત રેસ છેલ્લા 45 વર્ષથી સતત યોજાઈ રહી છે. હજીરા રો-રો ફેરી (એસ્સાર જેટી) થી મગદલ્લા પોર્ટ (રૂઢ સ્થિત ગણપતિ વિસર્જન ઓવારા) આશરે 21 કિલોમીટર લાંબી આ હોડી સ્પર્ધા યોજાઈ હતી. કુલ 10 જેટલી સઢવાળી હોડીઓએ આ પડકારજનક રેસમાં ભાગ લીધો હતો. પ્રથમ વિજેતાને 51,000, દ્વિતીયને 35,000 અને તૃતીય ક્રમે આવનારને 25,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. મધદરિયે સઢવાળી હોડી પલટી ખાઈ ગઈરેસ જ્યારે મધદરિયે પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક પવનના વેગ અથવા તકનીકી કારણોસર એક સઢવાળી હોડી પલટી ખાઈ ગઈ હતી. હોડી પલટી જતાં ક્ષણભર માટે કિનારે ઉભેલા દર્શકો અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, હોડીમાં સવાર તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી તેઓએ હિંમત હારી નહોતી અને પાણીમાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. લોકો હરિફાઈ નિહાળવા માટે ઉમટી પડ્યાસુરતની રમતગમત પ્રેમી જનતા માટે આ રેસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો હજીરા અને મગદલ્લાના કિનારે આ હરિફાઈ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. હજીરાથી શરૂ થયેલી આ રેસ મગદલ્લાના રૂઢ ઓવારા ખાતે સંપન્ન થઈ હતી. દરિયાઈ પવન અને મોજાઓ વચ્ચે રમાતી આ રમત જેટલી સાહસિક છે એટલી જ જોખમી પણ છે, પરંતુ અનુભવી નાવિકોની સતર્કતાને કારણે આજે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ખેડૂતો માટે ખેતર કે વાડીએ જવાનો રસ્તો એ તેમની જીવાદોરી સમાન હોય છે. ઘણીવાર કોઈ ત્રાહિત વ્યક્તિઓ કે પડોશી ખેડૂતો દ્વારા અંગત અદાવત અથવા અન્ય કારણોસર ખેતરના રસ્તાઓ કે કુદરતી પાણીના વહેણ (વોકળા) બંધ કરી દેવામાં આવતા હોય છે. આવા સમયે ખેડૂતો મુંઝવણમાં મુકાઈ જાય છે અને દીવાની કોર્ટના લાંબા કેસોમાં ફસાઈ જાય છે. આ સમસ્યાના ઝડપી ઉકેલ માટે 'મામલતદાર કોર્ટ એક્ટ-1906ની કલમ 5' એક આશીર્વાદ સમાન છે. ચોટીલા, થાન અને મૂળી પંથકમાં વ્યાપક સમસ્યાસુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમના રસ્તા બંધ કરી દેવાય છે. ખાસ કરીને વાવણીના સમયે અથવા ઉભા પાકને લણવાના સમયે રસ્તો બંધ થવાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. કાયદાકીય જ્ઞાનના અભાવે ખેડૂતો કચેરીઓના ધક્કા ખાય છે, પરંતુ યોગ્ય ન્યાય મેળવી શકતા નથી. શું છે મામલતદાર કોર્ટ એક્ટની કલમ 5?ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને કાયદાનું જ્ઞાન આપવું અનિવાર્ય છે. ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો ખેડૂતો અભણ કે કાયદાથી અજાણ હોવાને કારણે ઘણીવાર અન્યાય સહન કરે છે. નાયબ કલેકટરની આ પહેલનો હેતુ ખેડૂતોને સજાગ કરવાનો છે. જો તમારો રસ્તો કોઈએ રોક્યો હોય, તો કચેરીના ધક્કા ખાવાને બદલે સીધો કલમ 5 હેઠળ દાવો કરીને ન્યાય મેળવી શકાય છે. એચ. ટી. મકવાણા (નાયબ કલેકટર, ચોટીલા)એ ખેડૂત ઉપયોગી માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને વાવણી કે પાક લણણી સમયે રસ્તાની તકલીફ ન પડે તે માટે આ કાયદો અમોઘ શસ્ત્ર છે. રજૂઆત લઈને આવતા ખેડૂતોને અમે આ કાયદાકીય પ્રક્રિયા સમજાવીએ છીએ જેથી તેઓ કાયદાના માર્ગે પોતાનો હક મેળવી શકે.
આગામી નવા સત્ર એટલે કે વર્ષ 2026- 27 માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શાળાઓ પાસે વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી એકત્ર કરવા માટેની તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા RTE હેઠળ પ્રવેશ માટેનું પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરની તમામ શાળાઓને DEOની સૂચના અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓ પાસે વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી માંગી છે. RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને ધોરણ 1ના વર્ગોની માહિતી આપવા શહેરની તમામ શાળાઓને સૂચના આપી છે. તેમજ તમામ શાળાઓને વેરીફીકેશન ફોર્મ પણ આપવામાં આવ્યા છે જેની વિગતો ભરીને વહેલી તકે જમા કરાવવા માટે સૂચના અપાઈ છે. 'વિદ્યાર્થીઓની કેટલી બેઠક છે તે નક્કી થશે'અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, RTE પ્રવેશ પ્રક્રિયા માટેની સૂચના મળતા જ તમામ શાળાઓ પાસેથી વિગતો એકઠી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યારથી જ વિગતો એકઠી કરવા માટેની પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી અમારા તમામ CRCને કામગીરી સોંપવામાં આવી છે. ગયા વર્ષે ધોરણ 1માં નોન RTE વિદ્યાર્થીઓ જે હોય તેના આધારે તેમની ઇન્ટેક્ટ નક્કી કરવામાં આવી હોય છે. જેથી ઇન્ટેક્ટના આધારે વિદ્યાર્થીઓની કેટલી બેઠક છે તે નક્કી કરવામાં આવતી હોય છે. 1300 જેટલી શાળાઓમાં આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશેવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જેથી અમદાવાદ શહેરની તમામ શાળાઓ પાસે RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને ધોરણ 1ના વર્ગોની માહિતી માંગવામાં આવી છે. 1300 જેટલી શાળાઓમાં આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેથી અત્યારે વેરિફિકેશન અને ઇન્ટેક્ટ નક્કી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 12 હજાર જેટલી સીટ ધોરણ 1માં રહેતી હોય છેશિક્ષણાધિકારી વધુમાં કહ્યું કે, જેથી આંકડા આવ્યા બાદ તેના આધારે આગામી સમયમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. અત્યારે ધોરણ 1થી 8માં RTE માં 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી 12 હજાર જેટલી સીટ ધોરણ 1માં રહેતી હોય છે. જો કે ઇન્ટેક્ટ આવ્યા બાદ પણ સંખ્યા પણ નક્કી કરવામાં આવશે.
પરમાત્માએ જીવમાત્રમાં દયા અને કરુણા મૂકેલી છે. ખાસ કરીને પૃથ્વી ઉપર માનવ એક બીજા માનવીને તથા પશુ પક્ષીઓને મદદ કરવા તત્પર રહેતો હોય છે. એ ન્યાયે નાર ગામે આવેલ વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ. સમાજની અનેકવિધ સેવાઓ કરી રહ્યું છે. મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગોકુલધામ-નાર દ્વારા નડિયાદમાં ખેડા જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લાના 294 કરતા પણ વધારે દિવ્યાંગજનોને હાઈટેક પ્રોસ્થેટિક લીમ્સ અર્પણ કરવામાં આવ્યા. જેમાં એલીમ્કો, એસ.આર. ટ્રસ્ટ, રતલામનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પમાં ડોક્ટરો તથા દિવ્યાંગજનોને ઉત્સાહ પ્રેરવા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, મંત્રી શ્રી સંજયસિંહ મહીડા, ડૉ. શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગોકુલધામ દ્વારા છેલ્લા 48 કેમ્પ દ્વારા 2571 લોકોએ લાભ લીધો હતો. ગોકુલધામના સ્વપ્ન દ્રષ્ટા શુકદેવ સ્વામીએ સૌ મહેમાનોને આવકાર આપી આશીર્વચન પાઠવ્યા હતા. સમાજના શ્રેષ્ટિઓ અને સંપ્રદાયના સંતોએ ગોકુલધામની પ્રવૃતિની પ્રશંસા કરી હતી.
વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ–WEF)ની વાર્ષિક બેઠક 2026માં ગુજરાત સરકાર શક્તિશાળી ઉપસ્થિતિ સાથે ભાગ લઈ રહી છે. સ્વિટ્ઝર્લેન્ડના ડેવોસ–ક્લોસ્ટર્સમાં 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનાર WEF–2026માં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિમંડળ ભાગ લેશે. આ ભાગીદારી ‘વિકસિત ગુજરાત@2047’ના વિઝનને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રોકાણ અને રોજગાર માટે વૈશ્વિક સંવાદWEF–2026 દરમિયાન ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અદ્યતન મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ઈમર્જિંગ ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ–લોજિસ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં 58થી વધુ ઉચ્ચસ્તરીય બેઠકો કરશે. AP મોલર–મર્સ્ક, એન્ગી, EDF, જ્હોનસન કંટ્રોલ્સ, સુમિતોમો ગ્રુપ, લિન્ડે, SEALSQ, ટિલમેન ગ્લોબલ સહિતની અગ્રણી વૈશ્વિક કંપનીઓ સાથે સંભવિત ચર્ચાઓ થવાની છે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવા રોકાણ, ટેકનોલોજી–ઇનોવેશન ભાગીદારી અને યુવાનો માટે મોટાપાયે રોજગાર સર્જનનો માર્ગ ખુલવાની અપેક્ષા છે. વૈશ્વિક મંચ પર ગુજરાતની વિચારધારાWEF–2026માં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અનેક મહત્વના વૈશ્વિક સત્રોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેમાં ‘નવા ભૂ-આર્થિક વ્યવસ્થામાં ભારત’, ‘રમતગમતની શક્તિ: સ્પેક્ટેકલથી લેગેસી સુધી’, ‘કોલથી ક્લીન ઇનિશિયેટિવ’, ‘મિશન વોટર: એક અબજ લોકો માટે જળ સુરક્ષા’ અને ‘ડિલિવરિંગ સસ્ટેનેબિલિટી એટ સ્કેલ’ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સત્રોમાં ગુજરાતનું વિકાસ મોડલ, ટકાઉ વિકાસ અને વૈશ્વિક ભાગીદારી માટેની તૈયારીને ઉજાગર કરવામાં આવશે. ‘ગુજરાત – રેડી ફોર ધ વર્લ્ડ’નો સંદેશ“ગુજરાત – રેડી ફોર ધ વર્લ્ડ, વ્હેર વિઝન મીટ્સ એક્શન”ના સંદેશ સાથે WEF–2026માં ગુજરાતની હાજરી રાજ્યની વૈશ્વિક મૂલ્ય શ્રેણીમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનવાની મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે. WEF–2026માં ગુજરાતની ભાગીદારી માત્ર હાજરી નહીં પરંતુ, વૈશ્વિક વિકાસની દિશા ઘડવામાં નેતૃત્વનો સંદેશ આપતી માનવામાં આવી રહી છે.
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે માણસા તાલુકાના પુંધરા ગામના તળાવ પાસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને વરલી મટકાના આંકડા પર જુગાર રમતા એક સટોડિયાને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે સટોડિયા પાસેથી આઈફોન, રોકડ રકમ અને ફોરવ્હીલ ગાડી મળી કુલ રૂપિયા 2.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા ટાઈમ, કલ્યાણ, મિલન ઓપન એપ્લિકેશન થકી થયેલા લાખોનાં સટ્ટાના વ્યવહારો પણ બહાર આવ્યા છે. માણસામાંથી સટોડિયો 2.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયોમાણસા તાલુકાના પુંધરા ગામના તળાવ પાસે દરોડો પાડીને વરલી મટકાના આંકડાના વિજાપુર સુધી વિસ્તરેલા નેટવર્કનો લોકલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ દિવાનસિંહ વાળાની ટીમ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ રોકવા માણસા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. હોન્ડા અમેજ ગાડીમાં બેસી મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હતોતે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મહુડીથી લોદરા તરફ આવતા રોડ પર પુંધરા ગામના તળાવ પાસે એક સફેદ કલરની ગાડીમાં બેસીને એક ઇસમ મોબાઈલ ફોન દ્વારા વરલી મટકાનો જુગાર રમી રહ્યો છે. આ બાતમીના પોલીસે દરોડો પાડતા કિરણ શૈલેષભાઇ પટેલ (રહે. પુંધરા) નામનો સટોડિયો પોતાની હોન્ડા અમેજ ગાડીમાં બેસી મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો ઝડપાયો હતો. મોબાઈલમાં બુકી સાથે વરલી મટકાના આંકડાઓની લેવડદેવડ જોવા મળીબાદમાં પોલીસે તેના એપ્પલ આઇફોન-16 પ્રોમેક્સની તપાસ કરી તો તેના વોટ્સએપમાં 'હરેશ રાઠોડ' (હરેશ નટુભાઇ ઠાકોર, રહે. વિજાપુર) નામના બુકી સાથે વરલી મટકાના આંકડાઓની લેવડદેવડ જોવા મળી હતી. આરોપી ટાઈમ ઓપન, ટાઈમ બેન, મિલન ઓપન અને કલ્યાણ ઓપન જેવી ઓનલાઇન એપ્લિકેશન મારફતે લાખો રૂપિયાની હારજીતનો જુગાર રમતો હતો. સટોડિયાએ 3.27 લાખના આંકડા લખાવ્યા હતાઆ એપ્લિકેશનો થકી સટોડિયા કિરણ પટેલે કુલ રૂપિયા 3,27,500 ના આંકડા લખાવ્યા હોવાની વિગતો પણ પોલીસને મળી આવી છે. આ મામલે માણસા પોલીસ મથકમાં કિરણ પટેલ અને આંકડા લેનાર હરેશ ઠાકોર વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીના આમરણ પાસે જુગારની રેડ:પાંચ શખ્સો ₹1.59 લાખ રોકડ સાથે ઝડપાયા, એક ફરાર
મોરબી તાલુકાના આમરણ ગામ પાસે ચેકડેમ નજીક ખરાબાની જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી પાંચ શખ્સોને ₹1,59,300ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને આમરણ-જીવાપર રોડ પર ચેકડેમ પાછળ બાવળની ઝાડીઓમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જુગાર રમતા શખ્સોને ઘેરી લીધા હતા. ઝડપાયેલા શખ્સોમાં દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડીયા (ઉં. 62, રહે. રવાપર રોડ, હરી ટાવર પાસે, મોરબી), અસલમમિયા સુલતાનમિયા બુખારી (ઉં. 40, રહે. આમરણ), ધીરજભાઈ વાલજીભાઈ બોપલિયા (ઉં. 43, રહે. બેલા, આમરણ), પ્રવીણભાઈ રાઘવજીભાઈ લીખીયા (ઉં. 52, રહે. આમરણ, ડાયમંડ નગર) અને ગૌતમભાઈ અમૃતભાઈ લીખીયા (ઉં. 33, રહે. આમરણ) નો સમાવેશ થાય છે. તેમની પાસેથી કુલ ₹1,59,300ની રોકડ જપ્ત કરવામાં આવી હતી. પોલીસને જોઈને આમરણનો નિઝામ ફારુકમિયા બુખારી નાસી છૂટ્યો હતો. હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાસી ગયેલા શખ્સને પકડવા માટે પણ તજવીજ ચાલી રહી છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અંધ શ્રદ્ધાને કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાજીની માનતા પૂરી કરવા માટે ધાર્મિક વિધિના નામે તીક્ષ્ણ હથિયાર વડે બકરાની બલિ ચઢાવવામાં આવી હતી. આ અંગે સામાજિક સંસ્થા દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માતાજીની માનતા પૂરી કરવા બકરાની બલિબાપુનગર વિસ્તારમાં ભીડભંજન રોડ પર ઈ કોલોનીમાં બલિ માટે બકરો લાવવામાં આવ્યો હતો. માતાજીની માનતા નામે બકરાનું ગળું કાપી બલિ ચઢાવવામાં આવી હતી.આ અંગે એનિમલ વેલ્ફેર સંસ્થાના કર્મચારીને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. એનિમલ વેલ્ફેરના કર્મચારીએ ફરિયાદ નોંધાવીપોલીસ અને એનિમલ સંસ્થાના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળેથી બકરાનું કપાયેલું માથું અને ધડ મળી આવ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળા પણ હતા. બનાવ અંગે પોલીસે મકાનમાલિક નરેશ પટણી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.
છારાનગરમાંથી 20 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઈ:ઓઢવ કારખાનામાં જુગાર રમતા બે વેપારી સહિત ચાર પકડાયા
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાંથી ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા પાસેથી 20 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ગાંજો વેચનારી મહિલા નો ભાઈ રેલ્વે સ્ટેશન ખાતે ગાંજાના કેસમાં ઝડપાઈ જતા તેના ઘરેથી ગાંજો લાવી અને પોતાની પાસે મૂકી રાખ્યો હતો જે જથ્થો ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઓઢવ વિસ્તારમાં કારખાનામાં જુગાર રમનારા બે વેપારીઓ સહિત ચાર લોકોની પણ ધરપકડ કરી છે. 20 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઈક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શહેરના સરદાર નગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મસાણી મેલડી માતાના મંદિર પાસે રાજધાની ગલીમાં ગીતાબેન મીણેકર નામની મહિલાએ તેના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવીને રાખ્યો છે જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાના દરોડો પાડ્યો હતો. જેમાં ટેપ વિટાળેલા બે પાર્સલ મળી આવ્યા હતા. જેથી એફએસએલને સાથે રાખીને તપાસ કરતા ગાંજાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. બે પાર્સલમાં અંદાજે 20 કિલો જેટલો ગાંજાનો જથ્થો હોવાને લઈને ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરી હતી. ભાઈના ઘરેથી ગાંજાનો જથ્થો લાવી ઘરમાં મૂક્યો હતોમહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છારાનગરમાં જ રહેતો તેનો ભાઈ ગણેશ ઈન્દ્રેકર અને પોતે સાથે મળીને ગાંજો વેચે છે. તેના ભાઈની કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ગાંજા સાથે પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની દીકરીને મોકલીને તેના ભાઈના ઘરેથી આ ગાંજાનો જથ્થો લાવી ઘરમાં મૂકી રાખ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે 20 કિલો ગાંજો જપ્ત કરી મહિલાની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ઓઢવ કારખાનામાં જુગાર રમતા બે વેપારી સહિત ચાર પકડાયાઓઢવ વિસ્તારમાં આવેલા શુભ એસ્ટેટમાં આવેલા ગિરનાર એન્ટરપ્રાઇઝ નામના કારખાનાની ઓફિસમાં કેટલાક લોકો જુગાર રમતા હોવા અંગેની બાતમી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી જેના પગલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓફિસમાં દરોડો પાડયો હતો. પોલીસે ઓફિસમાં જુગાર રમતા ભાવેશ પટેલ, ઉદય રાજ્યગુરુ અને નિલેશ યાદવ નામના શખ્સને ઝડપ્યા હતા. અશ્વિન પંડિત નામનો વ્યક્તિ કારખાનાની ઓફિસમાં બહારથી તેઓને બોલાવી અને જુગાર રમાડતો હતો પોલીસે ચારેય લોકોની 16 હજાર જેટલા મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી.
વડોદરાના વારસિયા વિસ્તારમાં ગિફ્ટ શોપના વેપારીને માર મારીને ભારતીય અને વિદેશી કરન્સી સહિત 10 લાખ રૂપિયાની રોકડ લૂંટ કરવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધી આ કેસમાં 7 આરોપી પકડાયા છે. આ લૂંટની સંપૂર્ણ રોકડ તથા વિદેશી ચલણી નોટો પણ મળી આવી છે. આ સાથે જ 20 દેશોની 7808 ચલણી નોટો પણ મળી આવી છે. જેની રકમ ભારતીય ચલણ પ્રમાણે 2.71.કરોડ રૂપિયા થાય છે, ત્યારે સવાલ એ થાય છે કે લૂંટ માત્ર 10 લાખ રૂપિયાની થઈ હતી તો આટલી મોટી રકમ ક્યાંથી આવી? આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ વેપારીની પણ પૂછપરછ કરશે. સવાલ એ થાય છે કે શું લૂંટ 2.71 કરોડ રૂપિયાની થઈ હતી. જોકે આટલી મોટી રકમ બાબતે ક્રાઈમ બ્રાન્ચ પાસે પણ હજી કોઈ જવાબ નથી. ગત તારીખ 16 જાન્યુઆરીના રોજ રાત્રિના આશરે 8:30 વાગ્યે વડોદરાના કારેલીબાગ જીવન ભારતી સ્કુલ નજીક આવેલ પોતાની ગિફ્ટ શોપ બંધ કરીને કારમાં બેસીને 67 વર્ષીય વેપારી લીલારામ રેવાણી વારસિયા રિંગ રોડ પર આવેલ ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. ગાડી પાર્ક કરી નીચે ઉતરતા જ તેમને ચાર યુવાનોએ મોં પર કાળા કપડા બાંધીને હુમલો કર્યો હતો. એકે તેમની ફેટ પકડીને તેમને છાતી પર ઘા માર્યા હતા, બીજાએ આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને અન્ય લૂંટારાઓએ કારની પાછળની સીટ પર મૂકેલ 10 લાખ રૂપિયા ભરેલી હેન્ડબેગ તથા નાસ્તાની થેલીઓ લઈ લીધી હતી. નાસ્તાની થેલીઓ રસ્તામાં ફેંકી દઈને આરોપીઓ એક્ટિવા અને બાઇક પર નાયરા પેટ્રોલ પંપ તરફ ભાગી ગયા હતા. આ ઘટના બાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. ગુનામાં સંડોવાયેલા એક આરોપીનું ટુ-વ્હીલર ચાલુ ન થતા તેને સ્થળ પરથી સ્થાનિક લોકોએ પકડી લીધો હતો. એક આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરી ભુતડી ઝાંપા રોડ પરથી હિરેન મિનેષભાઈ વસાવા (ઉં. 20, રહે. આણંદ)ને લૂંટેલી હેન્ડબેગ સાથે ઝડપી પાડ્યો હતો. બેગમાંથી ભારતીય ચલણ સાથે વિવિધ વિદેશી કરન્સીની મોટી સંખ્યામાં નોટો મળી આવી હતી. સઘન પૂછપરછમાં હિરેન ભાંગી પડ્યો અને ખુલાસો કર્યો કે આ લૂંટ વારસીયા રહેતા શનાભાઈ ઉર્ફે ભલાભાઈ ચંદુભાઈ વાઘેલા (ઉં. 35)ની ટીપ આધારે કરવામાં આવી હતી. આ આરોપીઓ ઝડપાયા 1. શનાભાઈ ઉર્ફે ભલાભાઈ ચંદુભાઈ વાઘેલા (ઉંમર.35) – રહે. શિવધારા એપાર્ટમેન્ટ, વારસિયા, વડોદરા 2. આકાશ વિરૂભાઈ દેવીપુજક (ઉંમર.23) – રહે. જલારામ પાર્ક, આણંદ 3. રવિ મુન્નાભાઈ ઠાકોર (ઉંમર.22) – રહે. રાધિકા પાર્ક, આણંદ4. અતુલ અશોકભાઈ દેવીપુજક (ઉંમર.19), રહે. જલારામ પાર્ક, આણંદ5. હિરેન મિનેષભાઈ વસાવા (ઉંમર.20) – રહે. વિનુ દરબારની ચાલી, આણંદ અગાઉ વારસીયા પોલીસે પકડેલા આરોપી 1. રાહુલ રમેશભાઇ મારવાડી ઉમર.20 રહે. મહાકાળી વુડા સયાજી ટાઉનશિપ સામે આજવા રોડ વડોદરા શહેર 2. અનિલ મગનભાઇ પરમાર ઉંમર.29 રહે. ગણેશનગર સોસાયટી, વૈકુંઠ-2 સામે ખોડીયારનગર વડોદરા આરોપી શનાભાઈ વાઘેલાએ વેપારીના દુકાન-ઘરની રેકી કરી, આવન-જાવનનો સમય જાણી અન્ય આરોપીઓને ટીપ આપી હતી. તેઓએ મોંઢે કાળા કપડા બાંધી ઓળખ છુપાવી અને વાહનોના નંબર પ્લેટ કાઢી નાખ્યા હતા. લૂંટ પછી હેન્ડબેગ હિરેનને સોંપવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આ ગંભીર લૂંટનો પર્દાફાશ કરી સંપૂર્ણ મુદ્દામાલ (હેન્ડબેગ, રોકડ, વિદેશી કરન્સી, મોબાઇલ ફોન-4) કબજે કર્યો છે.
વિદેશ જવા ઈચ્છતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ કરતી ટોળકીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુડાસણમાં રહેતા ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટના વેપારીના ચાર મિત્રોને ન્યૂઝીલેન્ડ મોકલવાના બહાને ખોટી એર ટિકિટો અને બનાવટી વિઝા લેટર્સ પધરાવી અમદાવાદના બે ભાઈઓએ 70 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વેપારીને તેના CA મિત્રએ આરોપી સાથે મુલાકાત કરાવી હતીગાંધીનગરના કુડાસણ શિવાલય શીવાલય પરિસરમાં રહેતા અને રૂદ્ર એન્ટરપ્રાઇઝ નામે ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર કરતા પ્રધ્યુમનસિંહ અશોકસિંહ વાઘેલાને તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર અંકિત રાજગોરે ફેબ્રુઆરી-2025માં અવધ જીતેન્દ્રભાઈ રાજગોર (સી-1215, સિધ્ધી વિનાયક બિઝનેસ ટાવર, ડી.સી.બી. ઓફિસની પાછળ, મકરબા) સાથે મુલાકાત કરાવી હતી. એ વખતે અવધે પોતે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતો હોવાનું અને તેનો ભાઈ સિદ્ધાર્થ રાજગોર દુબઈમાં 'વર્લ્ડ કનેક્ટ (FZC)' નામની કંપની ધરાવતો હોવાનું જણાવ્યું હતું. જેણે પ્રધ્યુમનસિંહના મિત્રો શુભમ પટેલ, ચેતન પટેલ, રાજ પટેલ અને મિતેષ પટેલને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી હતી. વોટ્સએપ પર ન્યૂઝીલેન્ડના બનાવટી વર્ક વિઝા લેટર અને ખોટી ટિકિટો મોકલીઆથી, વિઝા માટે પ્રતિ વ્યક્તિ 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. બાદમાં પ્રધ્યુમનસિંહે 13 એપ્રિલ, 2025થી 17 જાન્યુઆરી, 2026 દરમિયાન તબક્કાવાર કુલ 70 લાખ રૂપિયા બેંક ટ્રાન્સફર અને રોકડ દ્વારા બંને ભાઈઓને ચૂકવ્યા હતા એટલે બંનેએ વિશ્વાસ કેળવવા માટે વોટ્સએપ પર ન્યૂઝીલેન્ડના બનાવટી વર્ક વિઝા લેટર અને અમદાવાદથી કંબોડિયા તથા કંબોડીયાથી ન્યૂઝીલેન્ડની ખોટી એર ટિકિટો મોકલી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીજોકે, પ્રધ્યુમનસિંહે વિઝાના અસલ ડોક્યુમેન્ટ્સની માંગણી કરી ત્યારે બંનેએ ગલ્લાંતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું. જે અંગે તેમણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મોકલેલી તમામ ટિકિટો અને વિઝા લેટર્સ તદ્દન ખોટા અને બનાવટી હતા. આથી તેમણે વિઝાના કામે આપેલા નાણાં પરત માંગવા છતાં આજદિન પરત ન કરતા અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના મામલાએ હવે નવો વળાંક આવ્યો છે, જેમાં આરોપી શબીર મીરને કેટલાક તત્વો દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં આજે 18 જાન્યુઆરીએ વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. એક તરફ પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ આ આરેપી શબીરને મારમારતો વીડિયો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. શબીર મીર બે વાર પોતાના નિવેદનો બદલી ચુક્યોઉલ્લેખનીય છે કે આરોપી શબીર મીર અત્યાર સુધીમાં બે વાર પોતાના નિવેદનો બદલી ચુક્યો છે, ત્યારે તેને માર મારનાર શખ્સો કોણ છે અને આ પાછળ કોનો હાથ છે તે અંગે ઊંડી તપાસ કરવી અનિવાર્ય બની છે. પોલીસે તપાસ શરૂ કરીઆ મામલે માળીયા પીઆઈ કાતરિયા સાથે વાત કરતા તેમને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જે શબ્બીર મીરને માર મારતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. શું છે સમગ્ર મામલોજૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ખાતે 16 જાન્યુઆરીની રાતે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા શખસ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે આ ઘટના બનતાંની સાથે જ ત્યાં હાજર રહેલા જાગ્રત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી જૂતું કઢનારી વ્યક્તિને દબોચી લીધી હતી. તો બીજી કરફ જૂતું ફેંકનારે આ કામ ત્રણ લોકોના કહેવાથી કર્યું હોવાનું કહી વટાણા વેરી દીધા હતાં. સાથે એ પણ ઉમેર્યું કે, તેને દારૂ પીવડાવી તેનેે જૂતું મારવા મોકલાયો હતો. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. આ અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં એનું પુનરાવર્તન થતાં સુરક્ષા-વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
પોરબંદર શહેરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ₹11.18 કરોડના ખર્ચે વિવિધ રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ વધારવાના ભાગરૂપે આ વિકાસલક્ષી પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિક પરિવહન વ્યવસ્થા સુદ્રઢ બનશે. આ કામો અંતર્ગત સાંઈબાબા મંદિર સહિતના વિસ્તારોમાં કુલ 18 કિલોમીટર લંબાઈના રસ્તાઓનું નવીનીકરણ કરાશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નરસંગ ટેકરી એરિયા, પરેશ નગર અને સાંઈ બાબા મંદિર જેવા વિસ્તારોમાં રસ્તાઓની ઊંચાઈ વધારવામાં આવશે. મકાનો નીચા ન દેખાય તે માટે રસ્તાઓને ખોદીને તેની ઊંચાઈ જાળવી રાખીને રિકાર્પેટ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં અનેક નવી સોસાયટીઓ બની છે. રસ્તાના કામની સાથે ગલીઓની ઊંચાઈ પણ વ્યવસ્થિત રાખવામાં આવશે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનું આયોજન પણ કરાયું છે. આનાથી નાગરિકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3માં આવેલા સાંઈ બાબા મંદિર પાછળનો વિસ્તાર, ગ્લોબલ સ્કૂલ પાછળનો વિસ્તાર, ધનલક્ષ્મી સોસાયટી, પરેશ નગર, મહાવીર સોસાયટી, જગન્નાથ સોસાયટી, નિધિ પાર્ક 5, સીતારામ નગર અને બાપુનગર જેવા વિસ્તારોમાં હાલના ક્ષતિગ્રસ્ત રસ્તાઓને ખોદીને નવીનીકરણના ₹11.18 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કાઉન્સિલર ગાંગાભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા હરણી બોટકાંડની ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે પીડિત પરિવારો, કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ મળીને હરણી લેક બહાર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. જેમાં પીડિત પરિવારોના આક્રંદે વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું. મૃતક મુહવિયા શેખની માતા મેજબીન શેખે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને બીક લાગે છે એટલે તો વડોદરા આવ્યા નથી. તેમને બીક લાગે છે કે હું ત્યાં જઈશ તો પીડિત પરિવારો મને મારી નાખશે. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વડોદરામાં કાર્યક્રમ હતો, પરંતુ આજે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. પીડિત પરિવારોના 11 વાલીઓની ગ્રાહક કોર્ટમાં ફરિયાદબીજી તરફ વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ જેણે 750 રૂપિયા લઈને પ્રવાસનું આયોજન કર્યું હતું તેની સામે પીડિત પરિવારોના 11 વાલીઓ દ્વારા વડોદરાની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં દરેક ફરિયાદ દીઠ 1.52 કરોડ એમ કુલ મળી 16.61 કરોડ રૂપિયાના વળતરનો દાવો શાળા સામે કરવામાં આવ્યો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા જરૂરી પરવાનગી લીધા વિના તા. 18 જાન્યુઆરી 2024ના હરણી લેક ઝોન ખાતે શાળા પ્રવાસનું આયોજન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મૃત્યુકાંડ બાદ DEO કચેરીથી નજીવો એવો 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જે તમામ બાબતોને આવરીને વાલીઓ હવે શાળા સામે વળતરની કાર્યવાહી હાથ ધરી છે. અમે બાળકો ગુમાવ્યા છતાં અમારી સાથે ગુનેગાર જેવું વર્તનમૃતક મુહવિયા શેખની માતા મેજબીન શેખે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, અમને ન્યાય મળ્યો નથી અને હવે આશા પણ રહી નથી કે, ગુજરાત સરકાર અમને ન્યાય અપાવશે. કારણ કે, આ લોકો અમારી પાછળ પોલીસ મૂકી દે છે. અમે અમારા બાળકો ગુમાવ્યા છતાં અમારી સાથે ગુનેગાર જેવું વર્તન કરે છે અને ગુનેગારો અત્યારે બિન્દાસ્ત ફરે છે. જાહેર કાર્યક્રમમાં આરોપીઓને સાથે બેસાડવામાં આવે છે અને અમે જઈએ છીએ તો એજન્ડા સાથે આવ્યા હોવાની વાત કરે છે. ક્રાઈમ બ્રાન્ચમાં 4 કલાક સુધી બેસાડી રાખે છે. 'પોલીસ હંમેશા અમારી પાછળ રહે છે'વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એ બધાને કાર્યક્રમ કરવા માટે ટાઈમ હોય છે. પોલીસ હંમેશા અમારી પાછળ રહે છે. કોઈ નેતા વડોદરા આવવાના હોય એટલે અમારી પાછળ પડી જાય છે. હું અમદાવાદ લગ્નમાં ગઈ હતી, ત્યારે મારી સાથે ટ્રેનમાં પોલીસ હતી. હું મારા છોકરાના વાળ કપાવવા ગઈ ત્યાં પણ પોલીસ મારી પાછળ આવી હતી. મેં પછ્યું તો કહે કે અહીંથી કામથી નીકળ્યો હતો. 'સ્કૂલ સત્તાધિશો, કોટિયા પ્રોજેક્ટના જવાબદારોને સજા આપો'મૃતક રોશનીની માતા સરલા શિંદેએ જણાવ્યું હતું કે, અમને ન્યાય મળ્યો નથી અને મળવાનો પણ નથી. એ લોકો અમને હેરાન કરે છે. તંત્રનો મોટો કાર્યક્રમ હોય તો અમારા ઘરે આવી જાય છે. આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ આવી ગયા છે. અમારી એટલી જ માગ છે કે, સ્કૂલ સત્તાધિશો, કોટિયા પ્રોજેક્ટના જવાબદારો અને અધિકારીઓને સજા આપો. જેવી રીતે અમે અમારા બાળકો વગર જીવી રહ્યા છીએ, તેઓ પણ એમના પરિવારથી વંચિત થઈને જીવન જીવે. તેમને પણ અહેસાસ થયા કે, અમે શું ગુમાવ્યું છે. 'અમારા બાળકોની આત્માને હજી શાંતિ મળી નથી'મૃતક વિશ્વની માતા સંધ્યા નિઝામાએ જણાવ્યું હતું કે, અમારા બાળકો ગુમાવ્યાને આજે બે વર્ષ થઈ ગયા છે, પણ અમને આજે પણ એવું લાગતું નથી કે, અમારા બાળકો આ દુનિયામાં નથી. અમને એવું લાગે છે કે, તેઓ પિકનિકમાં આવ્યા છે અને એન્જોય કરે છે. અમારા બાળકોને એવું લાગતું હશે કે, તેમને ન્યાય મળ્યો નથી. અમારા બાળકોની આત્માને હજી શાંતિ મળી નથી. અમે ન્યાય માટે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમને લાગે છે કે, બાળકોને ન્યાય મળશે પછી જ તેમના આત્માને શાંતિ મળશે. 'નેતાઓને આ પીડિત પરિવારોની વેદના દેખાતી નથી'ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ જણાવ્યું હતું કે, જાડી ચામડીનું પ્રશાસન, અધિકારીઓ અને નેતાઓને આ પીડિત પરિવારોની વેદના દેખાતી નથી. આજે પણ પરિવારોને ન્યાય મળ્યો નથી. પ્રશાસનના ભ્રષ્ટાચારનો ભોગ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ બની હતી. આ પરિવારો ગુનેગાર હોય એવું વર્તન પોલીસ કરી રહી છે અને ખરેખર ગુનેગારો બિન્દાસ્ત ફરી રહ્યા છે અને સરકારી કાર્યક્રમો પણ હાજરી આપે છે. શું હતો સમગ્ર મામલો?વડોદરા શહેર માટે કલંકરૂપ તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાનાં હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. 12 બાળક સહિત 14 લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલ્યા હતા. તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચો 2 મે 2025: હરણી બોટકાંડમાં દીકરી ગુમાવી, CMના કાર્યક્રમમાં ધક્કા મારી બહાર કાઢ્યાંવડોદરા હરણી બોટકાંડમાં દીકરી ગુમાવી અને CMના કાર્યક્રમમાં ધક્કા મારી બહાર કાઢ્યાં. હરણી બોટકાંડના 469 દિવસ પછી જ્યારે માતા ન્યાય માગવા ઊભી થઈ ત્યારે CMએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યાં છો. મને મળીને જ જજો. સ્પીચ પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતાં પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી. ત્યારબાદ બંને મહિલા અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરાઈ હતી. 3.30 કલાક સુધી પૂછપરછ બાદ પોલીસે તેમના જવા દીધા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
મહેસાણાના ખેરાલુ પંથકમાં અલ્પેશ ઠાકોરના આગામી સંમેલન પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજિતસિંહ બારડની આગેવાનીમાં ખેરાલુથી અંબાજી સુધી એક વિરાટ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મલેકપુર ખાતેથી ‘શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંબાજી પહોંચી મા જગદંબાના ચરણોમાં ધજા અર્પણ કરી ભવાની ધામના નિર્માણનો સંકલ્પ લેશે. આ યાત્રા બાદ સાંજે એક વિશાળ મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સનાતન ધર્મને જીવંત રાખવા ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધઃ ભિજિતસિંહઆ પ્રસંગે અભિજિતસિંહ બારડે જણાવ્યું હતું કે, નિર્માણ પામનાર ભવાની ધામ ભવિષ્યમાં ઠાકોર સમાજ માટે એક 'પાવર હાઉસ' બનીને ઉભરી આવશે, જે સામાજિક ચેતનાનું કેન્દ્ર બનશે. વસ્તી વધારા અંગે તાજેતરમાં પંચાલ સમાજ અને હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર પ્રતિક્રિયા આપતા બારડે નિવેદન કર્યું હતું કે, સનાતન ધર્મને જીવંત રાખવા અને ધર્મ કાજે બલિદાન આપવા માટે ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આજના ટેકનોલોજીના આધુનિક યુગમાં પરિવારનું યોગ્ય પોષણ થઈ શકે તે મુજબ સમાજે સમજદારીપૂર્વક વર્તવું જોઈએ. ખેરાલુ અને આસપાસના પંથકમાં ઠાકોર સેનાનો દબદબો જોવા મળ્યોમલેકપુરથી શરૂ થયેલી આ સંકલ્પ યાત્રામાં ઠાકોર સમાજના વિવિધ સાંસદો, ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ યાત્રામાં 1008થી વધુ કારનો કાફલો જોડાયો હતો. નોંધનીય બાબત એ રહી હતી કે, આ શક્તિ પ્રદર્શનમાં અલ્પેશ ઠાકોરની ગેરહાજરી વર્તાઈ હતી, પરંતુ સમાજના અન્ય તમામ દિગ્ગજ નેતાઓએ હાજર રહી અભિજિતસિંહ બારડના આ આયોજનને સમર્થન જાહેર કર્યું હતું. આ યાત્રાને પગલે સમગ્ર ખેરાલુ અને આસપાસના પંથકમાં ઠાકોર સેનાનો ભારે દબદબો જોવા મળ્યો હતો.
સીંગવડ તાલુકાના ફોફણ ગામે આવેલા અનામત જંગલ વિસ્તારમાં વન્યપ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ આવતી એક ગંભીર ઘટના સામે આવી છે. બારીયા વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની સરજુમી રેન્જમાં તા. 16/01/2026 ના રોજ જંગલ વિસ્તારમાં અંદાજે પાંચ વર્ષની એક માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે આ દીપડાનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું અને તેની કોઈ રીતે હત્યા કરવામાં આવી નહોતી. વન વિભાગની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી તપાસ કરી રહી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે મૃત દીપડાના આગળના જમણા અને ડાબા પગના કુલ 8 આખા અને 1 અડધા નખ તેમજ મૂછના 27 વાળ કાપી લેવામાં આવ્યા હતા. આ મહત્વના અવયવો ગુમ હોવાને કારણે વન વિભાગે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો વ્યાપ વધાર્યો હતો. નાયબ વન સંરક્ષક બારીયાના નિરીક્ષણ હેઠળ અને દાહોદ, સરજુમી તેમજ રધીકપુર રેન્જના અધિકારીઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી સરજુમી આસપાસના ગામોમાં સંઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાવડી ફળિયા, સરજુમી ખાતે રહેતા ધુળાભાઈ ધનાભાઈ હઠીલા ઉંમર 79 વર્ષ અને બાબુભાઈ ધુળાભાઈ હઠીલા ઉંમર 42 વર્ષના રહેણાંક મકાનમાંથી મૃત દીપડાના ગુમ થયેલા અવયવો મળી આવ્યા હતા. આરોપીઓના ઘરેથી દીપડાના આગળના બંને પગના નખ, મૂછના વાળ તેમજ ગુનામાં વપરાયેલ દાતરડું હથિયાર જપ્ત કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા તમામ મુદ્દામાલ કાયદેસર રીતે કબજે લેવામાં આવ્યો હતો. આ મામલે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2(31), 2(32), 2(35), 2(36), 39, 40, 50, 51 અને 52 મુજબ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને લીમખેડાની નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અમરેલીના રબારીકા ગામમાં 4 સિંહ દેખાયા:શિકારની શોધમાં ગામના મુખ્ય ચોકમાં ફરતા વીડિયો વાયરલ
અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં વન્યજીવોની અવરજવર વધી રહી છે. તાજેતરમાં, ખાંભાના રબારીકા ગામના મુખ્ય ચોકમાં મોડી રાત્રે શિકારની શોધમાં ચાર સિંહ આવી ચડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સિંહો ગામના ચોક વિસ્તારમાં ખુલ્લેઆમ આંટાફેરા મારતા જોવા મળે છે. સિંહોની અચાનક હાજરીથી ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. ગામના લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ ઘટના દરમિયાન, ગામમાં ફરજ પર રહેલા ગ્રામ રક્ષા દળ (G.R.D)ના બે જવાનોએ સમયસૂચકતા અને બહાદુરી દાખવી હતી. તેમણે સિંહોને ગામના પશુઓ તરફ આગળ વધતા રોક્યા, જેનાથી પશુઓ પર થનારો સંભવિત હુમલો ટળી ગયો. જવાનોએ અવાજ અને દેખરેખ રાખી સિંહોને ગામથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. વાયરલ વીડિયોમાં એક સિંહ ગામમાં પડેલા રેતીના ઢગલા પર આરામ કરતો પણ જોવા મળે છે, જે સિંહોની નિર્ભયતા દર્શાવે છે. સિંહોની હાજરીને કારણે રાત્રિ દરમિયાન ગ્રામજનોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
પાલનપુરમાં ભુદેવ કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઈ:જિલ્લાની 10 ટીમોએ ભાગ લીધો, યુવાનોમાં એકતાનો સંદેશ
પાલનપુરમાં માર્કસ ફાઉન્ડેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા પાલનપુર શહેર યુવા ટીમ દ્વારા ભુદેવ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનો એકબીજાના પરિચયમાં આવે અને સમાજમાં એકતા વધે તેવો હતો. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આવો, રમીએ... આપણી પરંપરાગત રમત... કબડ્ડીના સંદેશ સાથે આ કાર્યક્રમ યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડવાનો પ્રયાસ હતો. આ ભુદેવ કબડ્ડી ટુર્નામેન્ટ પાલનપુરના રમતગમત કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લાની કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ટીમો વચ્ચે રોમાંચક અને સ્પર્ધાત્મક મેચો રમાઈ હતી. શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ આયોજન પાલનપુર શહેરમાં રમતગમતની સંસ્કૃતિને નવી દિશા આપવા અને પરંપરાગત રમતોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
11 વર્ષથી ફરાર આરોપી પકડાયો:અમરેલી LCBનું પંજાબમાં ઓપરેશન સફળ, વિશ્વાસઘાત કેસનો આરોપી ઝડપાયો
અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 11 વર્ષથી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પંજાબમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પર રૂ. 10,000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. અમરેલી LCBની ટીમે ટેકનિકલ સોર્સ અને વિશ્વસનીય બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ટોચના નાસતા ફરતા આરોપીઓને પકડવા અને તેમના પર ઈનામ જાહેર કરવા અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત, અમરેલીના SP સંજય ખરાત દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા ટોપ-10 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીમાં સમાવિષ્ટ દરેક આરોપીને પકડી પાડવા રૂ. 10,000નું ઈનામ જાહેર કરાયું હતું. અમરેલી LCB પી.આઈ. એ.ડી. ચાવડાની ટીમ દ્વારા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા, રૂ. 10,000ના ઈનામી આરોપીને પકડવા પંજાબ રાજ્યમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. LCB પી.એસ.આઈ. કે.ડી. હડિયાની ટીમ પંજાબ પહોંચી હતી. ખાનગી વોચ રાખીને ગુરદાસપુર જિલ્લાના ધારીવાલ તાલુકાના સંઘર ગામ નજીકથી પંજાબસિંગ ઉર્ફે દીપુ સકાતરસિંગ નાજરસિંગ જાટ (ઉંમર: 36 વર્ષ, રહે. સંઘર ગામ, તા. ધારીવાલ, જિ. ગુરદાસપુર, પંજાબ)ને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની અટકાયત કરીને તેને અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રૂરલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તે અત્યાર સુધી ક્યાં ક્યાં ફરતો હતો. આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ સફળ કામગીરી કરનાર LCB ટીમને રૂ.10,000નું ઈનામ મળશે. આ ટીમમાં LCB પી.આઈ. એ.ડી. ચાવડા, પી.એસ.આઈ. કે.ડી. હડિયા, પી.એસ.આઈ. એમ.ડી. ગોહિલ, પી.એસ.આઈ. જે.ડી. વાઘેલા, રાહુલભાઈ ઢાપા, મહેશભાઈ મુંઘવા, તુષારભાઈ પાંચાણી અને હરેશભાઈ કુંવારદાસનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લા પોલીસ વડાએ ટીમને અભિનંદન આપી પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે નાસતા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કુટુંબીય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ-પત્ની પર લાકડી, ધોકા પાઈપ અને ધારિયા જેવા હથિયારો સાથે હુમલાની ઘટના સામે આવી છે. પૈસાની બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ લગ્નપ્રસંગમાં અને ત્યારબાદ ભાવનગરમાં ફરી ઝઘડો ભભૂકી ઉઠ્યો હતો, જેમાં પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે બોરતળાવ પોલીસે 8 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગે ભેગા થતાં ફરી બબાલ થઈઆ બનાવ અંગે બોરતળાવ પોલિસ મથકથી મળતી માહિતી મુજબ, કુંભારવાડા અક્ષયપાર્ક સોસાયટીમાં રહેતા અજિતભાઈ લખમણભાઈ રાહાણી ફરિયાદ નોંધાવી છે કે, 17 જાન્યુઆરીના રોજ હેબતપુર ખાતે અમારા સંબંધીને ત્યાં લગ્ન હોવાથી હું તથા મારી પત્ની મુક્તા બંને લગ્નમાં ગયા હતાં, જ્યાં અમારા કુટુંબી નવીન ગંગાભાઈ રાહાણી પણ હાજર હતાં. નવીન સાથે પૈસા બાબતે અગાવ બોલાચાલી થઈ હોવાથી એકબીજા બોલતા નથી. તે લગ્નમાં મળતા તેણે મને કહ્યું કે, મારી સામે કાતર કેમ મારે છે? આ વાતને લઈ અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી આ બાબતે ધોલેરા પોલીસ સ્ટેશનમાં નવીન વિરુદ્ધ અરજી આપી હતી. પોલીસ સ્ટેશન અરજી દેવા જતાં હથિયારો સાથે દંપતી પર હુમલોઆ ઘટના બાદ હું અને મારી પત્ની બંને ભાવનગરના દસનાળા ખાતે પહોંચતા મારા મોબાઈલ ફોનમાં અવારનવાર ફોન આવતો હતો. ફોન પર નવીન બોલાચાલી કરતા હતાં, જેથી ત્યાં પોલીસની ગાડી બોલાવી અને તે ઘરે મૂકી ગઈ હતી. ત્યારબાદ હું તથા મારી પત્ની સાંજે આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે અરજી દેવા ગયાં ત્યારે અક્ષયપાર્ક નજીક મનીષ ગંગાભાઈ સહાણી તથા ભરત ગંગાભાઈ તથા કુબેર સંગાભાઈ અને વિક્રમ ગંગાભાઈનો દીકરો આવી પહોંચ્યાં હતાં. આ બધાના હાથમાં લાકડી, ધોકા-પાઈપ અને ધાર્યા જેવા હથિયાર હતાં. જતાં-જતાં આરોપીઓએ મારી નાખવાની ધમકી આપીતમામ મને અને મારી પત્નીને ઉભા રાખી માર મારવા લાગ્યાં હતાં. આ સમયે અન્ય ત્રણેક લોકો આવ્યાં હતાં અને તે પણ અમને ઢીકા-પાટુનો માર મારવા લાગ્યાં હતા. આ બનાવ બનતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયાં હતાં અને અમને પતિ-પત્નીને વધુ મારથી છોડાવ્યાં હતાં. ત્યારે હુમલો કરનાર તમામ લોકો જતાજતા કહ્યું કે, આજ પછી મારા ભાઈ નવીનનું નામ લીધું છે તો જાનથી મારી નાખવા પડશે. પતિ-પત્ની હાલમાં સારવાર હેઠળત્યારબાદ ફરિયાદી તથા તેના પત્ની ઇજાગ્રસ્ત હોવાથી સ્થાનિકો દ્વારા સારવાર માટે 108 બોલાવી પતિ-પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં ફરિયાદી અજિત રાહાણીને બંને પગે, બંને હાથના પહોંચા ઉપર ફ્રેક્ચર તેમજ ખભાના ભાગે મુંઢ ઈજા થઈ હતી. તો પત્નીને માથાના, આંખના અને મોઢાના ભાગે ઇજાઓ થઈ છે. ત્યારે બન્ને પતિ-પત્નીની હાલ હોસ્પિટલ ખાતે બંનેની સારવાર ચાલુ છે અને બંને અલગ-અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે આઠ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરીઆ બનાવના પગલે નીતિન ગંગાભાઈ રાહાણી, મનીષ ગંગાભાઈ રાહાણી, ભરત ગંગાભાઈ રાહાણી, કુબેર ગંગાભાઈ રાહાણી, વિક્રમ ગંગાભાઈનો દીકરો અને અજાણ્યા 3 શખસ મળી 8 શખસ વિરુદ્ધ BNS કલમ 118(1), 117(2), 115(2), 352, 351(3), 125(b), 189(2), 191(2), 190 અને જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હવેથી મહિલા સ્વસહાય જૂથોને ટેક્સટાઈલ પોલિસી હેઠળ સહાય મળશે:શહેરી નોન-પોલ્યુટીંગ એકમોને પણ લીલી ઝંડી
ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં મહિલાઓના સ્વસહાય જૂથો (SHG)ના સશક્તિકરણ અને આવક વૃદ્ધિને વધુ વ્યાપક બનાવવાના હેતુથી પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરાયા છે. આ નિર્ણયથી ગ્રામિણ સાથે સાથે શહેરી વિસ્તારોની મહિલાઓને પણ સીધો લાભ મળશે. સ્વૈચ્છિક મહિલા સ્વસહાય જૂથોને ટેક્સટાઈલ પોલિસી હેઠળ સહાય મળશેહવે નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન (NRLM), નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન (NULM)માં નોંધાયેલા તેમજ સમાન આજીવિકાના હેતુથી જોડાયેલા અન્ય સ્વૈચ્છિક મહિલા સ્વસહાય જૂથોને પણ ટેક્સટાઈલ પોલિસી-2024 અંતર્ગત સહાય માટે પાત્ર ગણવામાં આવશે. પરિણામે રાજ્યની મહિલાઓ વધુ આર્થિક રીતે સશક્ત અને સ્વનિર્ભર બની શકશે. નોન-પોલ્યુટીંગ ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ એકમોને લાભ મુખ્યમંત્રીએ વધુ એક મહત્વનો નિર્ણય લેતાં મ્યુનિસિપલ વિસ્તારની હદમાં આવેલા ગારમેન્ટ, એપેરલ, મેડઅપ્સ, સ્ટીચિંગ, એમ્બ્રોડરી સહિતના નોન-પોલ્યુટીંગ ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ એકમોને પણ પોલિસીનો લાભ આપવા મંજૂરી આપી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની White તથા Green કેટેગરીમાં આવતા આવા એકમોને હવે સહાય મળશે. આ નિર્ણયથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને સ્પર્ધાત્મકતા વધશેઆ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં રોજગાર સર્જનને વેગ મળશે, ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે. સાથે સાથે MSME ક્ષેત્રને પણ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ મળશે. શહેરી માળખાકીય સુવિધાઓનો અસરકારક ઉપયોગ થવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને સ્પર્ધાત્મકતા વધશે. ટેક્સટાઈલ સેક્ટર દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પહેલપર્યાવરણને અનુકૂળ નોન-પોલ્યુટીંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા આ પગલાંથી ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ મજબૂત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરાયેલા આ સુધારાઓથી ટેક્સટાઈલ સેક્ટર દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે મહત્વપૂર્ણ પૂરક સાબિત થશે અને વિકસિત ભારત-2047ના લક્ષ્યમાં ગુજરાત અગ્રેસર યોગદાન આપશે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સામાન્ય ગણાતા બાઈક પાર્કિંગના મુદ્દે થયેલી માથાકૂટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ખાટકીવાડ વિસ્તારમાં થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નિપજતા આ મામલો હત્યામાં ફેરવાયો હતો. ગઢડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે સગા ભાઈની ધરપકડ કરી છે અને આજે આરોપીઓને ઘટનાસ્થળે લાવી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. શું હતી ઘટના?ગત 14 જાન્યુઆરીના રોજ ગઢડાના ખાટકીવાડ વિસ્તારમાં બાઈક પાર્ક કરવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ અહેમદભાઈ તરકવાડીયા પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ અહેમદભાઈને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ગતરોજ તેમણે અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હતો. માંડવધાર રોડ પરથી આરોપીઓ ઝબ્બેઘટનાની ગંભીરતા જોઈ ગઢડા પી.આઈ. ડી. બી. પલાસના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો કાર્યરત થઈ હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓ યુનુસ ઓસમાન તરકવાડીયા અને મહેબૂબ ઓસમાન તરકવાડીયાને ગઢડાના માંડવધાર રોડ પરથી દબોચી લીધા હતા. ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન અને હથિયારો જપ્તપોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બંને આરોપીને ઘટનાસ્થળે લાવી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, તેમણે કેવી રીતે હુમલો કર્યો હતો. આરોપીઓના ઘરે છુપાવી રાખેલા કોયતા અને પાઈપ જેવા જીવલેણ હથિયારો પોલીસે કબજે કર્યા હતા. ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફાળ પડે તે માટે પોલીસે બંને આરોપીઓને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી. પોલીસની કડક કાર્યવાહીહત્યાના આ બનાવ બાદ પોલીસે અગાઉ નોંધાયેલી ફરિયાદમાં હત્યાની કલમ (IPC/BNS હેઠળ)નો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઢડા પી.આઈ. ડી. બી. પલાસે જણાવ્યું હતું કે, સામાન્ય તકરારમાં જે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તે ગંભીર બાબત છે. પોલીસે હથિયારો કબજે કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર ગઢડા પંથકમાં ચકચાર મચી ગઈ છે, ત્યારે પોલીસની આ આક્રમક કામગીરીની પ્રજામાં સરાહના થઈ રહી છે.
જૂનાગઢના દાતાર રોડ પર આવેલ દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પુરુષ સાથે એક યુવકે વિશ્વાસઘાત કરી, અંધશ્રદ્ધાના નામે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેમાં 45 વર્ષીય પુરુષને 'બાપાની વિધિ છે’ કહીને અપહરણ કરીને લઈ ગયો, ત્યારબાદ નિર્વસ્ત્ર કરી ને યુવકે નશાકારક વસ્તુ સુંઘાડીને બેભાન કર્યા અને ઠાઠડીમાં બાંધીને પ્રાઈવેટ પાર્ટમાં ડામ આપ્યા હતાં. આ ગંભીર ગુનામાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સાગર ચૌહાણને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. આરોપી યુવકે પીડિતના ઘરે જઈ તોડફોડ કરીપીડિતના ઘરે પહોંચ્યો હતો અને ફળિયામાં પડેલી ગાડી પર લોખંડના પાઇપ વડે હુમલો કરી તોડફોડ કરી હતી. તેણે બૂમો પાડીને ધમકી આપી હતી કે, 'તારા બાપને બહાર કાઢ, તમારે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજો'. આરોપી જ્યારે ભૂંડી ગાળો આપી રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. અવાવરુ રસ્તે લઈ જઈને નશાકારક વસ્તુ સુંઘાડીફરિયાદી 45 વર્ષીય પુરુષે પોલીસમાં નોંધાવેલી આપવીતી મુજબ, ગત 13 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે ચારેક વાગ્યે આરોપી સાગર ચૌહાણ ભોગબનનારના ઘરે આવ્યો હતો. સાગરે ભોગબનનારને વિશ્વાસમાં લઈ કહ્યું કે, 'મારા બાપાની વિધિ છે, તમે મારી સાથે ચાલો.' પરિચિત હોવાના કારણે ભોગબનનાર તેની મોટરસાયકલ પર બેસી ગયા હતા. જોકે, સાગર તેમને તેના ઘરે લઈ જવાને બદલે અવાવરુ રસ્તે લઈ જવા લાગ્યો હતો. પીડિતે વિરોધ કરતા સાગરે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈ નશાકારક વસ્તુ સુંઘાડી દેતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઠાઠડીમાં બાંધી ગુપ્ત ભાગે ડામ આપ્યાબીજા દિવસે સવારે ભોગબનનાર જ્યારે ભાનમાં આવ્યા, ત્યારે તેઓ દુબળી પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાછળ આવેલી એક અવાવરુ જગ્યાએ ઠાઠડી પર દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતાં. આરોપીએ અંધશ્રદ્ધામાં અંધ બની પીડિતને અર્ધનગ્ન કરી તેમના બંને હાથ, પીઠ અને ગુપ્ત ભાગો પર ગરમ વસ્તુ વડે ડામ આપ્યા હતાં. એટલું જ નહીં, માથાના વાળ પણ નિર્દયતાથી ખેંચી કાઢ્યા હતા. પરિવારજનોએ તેમને આ હાલતમાં શોધી કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતાં. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે આરોપીને ઝડપ્યોઆ ભયાનક બનાવની જાણ થતા જ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પીડિતે સ્વસ્થ થઈને ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી સાગર મનુભાઈ ચૌહાણ (રહે. વાણંદ સોસાયટી, જૂનાગઢ)ને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, હત્યાની કોશિશ સમાન અત્યાચાર, છરી બતાવી ધમકાવવા અને તોડફોડ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ વિધિ પાછળ અન્ય કોઈ તાંત્રિક કે સહયોગીઓની સંડોવણી છે કે કેમ. 'મને નિર્વસ્ત્ર કરીને પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યા'ભોગ બનનારે જણાવ્યું હતું કે, સાગર મનુભાઈ ચૌહાણ નામનો એક શખ્સ, જે દેવીપૂજક છે અને ગણેશનગરના ખૂણા પર રહે છે, તે મને ઘરકામ આપવાના બહાને મારા ઘરેથી બોલાવીને અહીં લઈ આવ્યો હતો. અહીં આવ્યા પછી તેણે અચાનક મારા પર હુમલો કર્યો અને મને અત્યંત ક્રૂરતાપૂર્વક ઢોર માર માર્યો હતો. તેણે મને નિર્વસ્ત્ર કરી દીધો અને મારા શરીર પર તેમજ પ્રાઈવેટ પાર્ટ પર ડામ પણ આપ્યા હતા. મને પાંસળીઓ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મને મરવા જેવી હાલતમાં અહીં જ છોડી દીધો હતો. 'ફૂલના હાર, અબીલ-ગુલાલ અને કાળું કપડું જોયું'પીડિતે વધુમાં કહ્યું હતું કે, મને એ નથી સમજાતું કે તેણે મારી સાથે આવું કેમ કર્યું, કારણ કે મારે તેની સાથે કોઈ પણ પ્રકારની દુશ્મની નહોતી. જ્યારે મને મારવામાં આવ્યો ત્યારે મેં આસપાસ પૂજાની સામગ્રી જેવી કે ફૂલના હાર, અબીલ-ગુલાલ અને કાળું કપડું જોયું હતું, જે જોઈને લાગે છે કે અહીં કોઈ તાંત્રિક વિધિ જેવું પણ કરવામાં આવ્યું હશે. 'મારી હાલત જોઈને બધા રડવા લાગ્યા હતા'પીડિતે જણાવ્યું હતું કે, સદનસીબે મારા પરિવારજનોને ખબર પડતા તેઓ અહીં આવ્યા અને મને રીક્ષામાં ઘરે લઈ ગયા, જ્યાં મારી હાલત જોઈને બધા રડવા લાગ્યા હતા. ત્યારબાદ મેં બીજા દિવસે હોસ્પિટલમાં સારવાર લીધી અને મને ત્યાંથી રજા મળ્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી છે. શરૂઆતમાં તો માત્ર એક જ વ્યક્તિ મારી પાસે આવ્યો હતો, પરંતુ પાછળથી તેણે અન્ય કોઈને બોલાવ્યા હતા કે કેમ તેની મને જાણ નથી.
ઉતરાયણનો તહેવાર વીતી ગયો હોવા છતાં, રસ્તા પર લટકતી પતંગની જીવલેણ દોરીઓ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહી છે. આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 25 વર્ષીય યુવક પતંગની દોરીની ઝપેટમાં આવી જતાં તેનું ગળું કપાયું હતું. મળતી માહિતી મુજબ, 25 વર્ષીય સાજન કનૈયાભાઈ જોગી નામનો યુવાન પોતાની બાઇક પર સવાર થઈને જિલ્લા કલેક્ટર ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની દોરી તેના ગળાના ભાગે આવી ગઈ હતી. બાઇકની ઝડપ હોવાને કારણે દોરી ગળામાં ફસાઈ જતાં સાજનનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉતરાયણ બાદ પણ ચાઇનીઝ કે કાચ પાયેલી દોરીઓ રસ્તા પર લટકતી હોવાને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર દ્વારા રસ્તા પર લટકતી આવી જોખમી દોરીઓ દૂર કરવામાં આવે જેથી અન્ય કોઈ જાનહાનિ ન થાય. ઉલ્લેખનીય છે કે, 14મી જાન્યુઆરી, ઉતરાયણના તહેવારના દિવસે પણ નવસારી-ગણદેવી રોડ પર પતંગની ધારદાર દોરીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નવાગામ પાસે બાઈક પર જઈ રહેલા 45 વર્ષીય સુમન નાયકાના નાક અને કાનના ભાગે દોરી વાગતા ઊંડો કાપો પડ્યો હતો. સુમન નાયકા તેમના પુત્ર સાગર નાયકા સાથે બાઈક પર નવસારીથી ઈચ્છાપુર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં સાગરને એક દોરી દેખાતા તેણે તેને પાછળ ફેંકી હતી. જોકે, પાછળ બેઠેલા સુમન નાયકાના નાક અને કાનના ભાગે તે દોરી ફરી વળતા તેમને ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક તેમને નવસારી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પારસી હોસ્પિટલના ડોક્ટરોએ ઇમર્જન્સી સારવાર આપી, નાક અને કાનના ભાગે ટાંકા લઈને તેમનો જીવ બચાવ્યો હતો. ઉતરાયણના તહેવારને 4 દિવસ વીતી ગયા હોવા છતાં, નવસારી શહેરમાં બાઈક ચાલકોએ સાવચેતીપૂર્વક વાહન હંકારવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજની ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, હજુ પણ ધારદાર દોરીઓ વાહન ચાલકો માટે જોખમરૂપ બનીને રસ્તા પર લટકી રહી છે.
ગુજરાતને વૈશ્વિક ટેક્સટાઈલ હબ બનાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણય લીધો છે. 'ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024' માં મહત્વપૂર્ણ સુધારા કરીને રાજ્ય સરકારે હવે મહિલા સ્વ-સહાય જૂથો (SHG) અને શહેરી વિસ્તારોમાં કાર્યરત નોન-પોલ્યુટીંગ ટેક્સટાઈલ એકમો માટે સહાયના દ્વાર ખોલી દીધા છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી કરવાનો છે. મુખ્યમંત્રીના આ દિશા-નિર્દેશ મુજબ, હવે નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન (NRLM) અને નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન (NULM) હેઠળ નોંધાયેલા તમામ મહિલા સ્વ-સહાય જૂથો આ પોલિસી હેઠળ મળવાપાત્ર લાભો મેળવી શકશે. આ પગલાથી છેવાડાની મહિલાઓ પણ ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનનો ભાગ બની શકશે. આ ઉપરાંત, એક અન્ય ક્રાંતિકારી નિર્ણયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા ગારમેન્ટ, એપેરલ, એમ્બ્રોઈડરી અને સ્ટીચિંગ જેવા એકમો કે જે GPCB ની 'વ્હાઈટ' અથવા 'ગ્રીન' કેટેગરીમાં આવે છે, તેમને પણ પોલિસી હેઠળ આવરી લેવાયા છે. અત્યાર સુધી મ્યુનિસિપલ હદમાં આવા એકમો માટે નીતિવિષયક મર્યાદાઓ નડતી હતી, જે હવે દૂર થઈ છે. ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ સુધારાઓથી MSME સેક્ટરને મોટું પ્રોત્સાહન મળશે. શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ વધતા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતની સ્પર્ધાત્મકતા વધશે. ખાસ કરીને ગારમેન્ટિંગ જેવી લેબર-ઈન્ટેન્સિવ પ્રવૃત્તિઓ શહેરોમાં વધવાથી મહિલાઓને ઘરની નજીક જ રોજગારી મળશે, જેનાથી તેમની સામાજિક-આર્થિક સ્થિરતા મજબૂત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ હવે નવી ઊંચાઈઓ સર કરવા સજ્જ બન્યો છે.
પોરબંદર શહેરના એસ.ટી. રોડ પર આવેલી જિલ્લા પંચાયત હસ્તકની માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરીમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કચેરીના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર રાખેલા ત્રણ કબાટમાંથી દસ્તાવેજો વેરવિખેર કરી નાખ્યા હતા. આ ઘટનાને પગલે સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એસ.ટી. રોડ પરના જૂના બિલ્ડિંગમાં કાર્યરત 'નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ'માં ચોરીના ઈરાદે કે અન્ય કોઈ હેતુથી અજાણ્યા શખ્સો ઘૂસ્યા હતા. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડવા માટે સ્કૂટરના અરીસાના સળિયાનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. કચેરીમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ ત્રણ કબાટમાં રહેલી ફાઈલો અને દસ્તાવેજો ફંફોળીને વેરવિખેર કરી દીધા હતા. જોકે, પ્રાથમિક તપાસમાં કોઈ કિંમતી વસ્તુ કે દસ્તાવેજની ચોરી થઈ હોવાનું સામે આવ્યું નથી. માત્ર ફાઈલોની તપાસ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાની જાણ શનિવારે સવારે ત્યારે થઈ જ્યારે ઓફિસનો સ્ટાફ ફરજ પર હાજર થયો. અધિક મદદનીશ ઈજનેર એન.ડી. લાલચેતાએ જણાવ્યું કે, તેઓ સવારે 9:50 વાગ્યે કચેરીએ પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર જોતા ત્રણ કબાટ ખુલ્લા અને સામાન વેરવિખેર હતો, જ્યારે બહાર તાળા તૂટેલી હાલતમાં પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ કમલાબાગ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ આ બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડે અમુક શખ્સોને ચોરી કરતા અટકાવ્યા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સરકારી કચેરીઓની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.
પાટણ નગરપાલિકાએ નવજીવન ચાર રસ્તા પાસે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. તિરુપતિ માર્કેટમાં દુકાનદારો દ્વારા કરાયેલા ગેરકાયદેસર શેડ અને લારીઓના દબાણો JCBની મદદથી દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. શહેરમાં વધતા જતા ગેરકાયદેસર દબાણો અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પાલિકા તંત્ર સક્રિય બન્યું છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમે શહેરના મુખ્ય વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરી હતી. પાલિકાની ટીમ જરૂરી કાફલા અને એક JCB મશીન સાથે નવજીવન ચાર રસ્તા પાસેના તિરુપતિ માર્કેટ પહોંચી હતી. અહીં દુકાનદારો દ્વારા પોતાની દુકાનની આગળ બનાવવામાં આવેલા ગેરકાયદેસર શેડ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માર્કેટની બહાર અને માર્ગ પર ઊભી રહેતી લારીઓને પણ હટાવી દેવામાં આવી હતી. લાંબા સમયથી આ વિસ્તારમાં દબાણોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, શહેરમાંથી ગંદકી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે.
ફળોના રાજા ગણાતી કેરીના ઉત્પાદન પર છેલ્લા થોડા વર્ષોથી કુદરતી આપત્તિઓનો કહેર સતત વધી રહ્યો છે. આ વર્ષે પણ લાંબા ચોમાસા બાદ હવે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને નવસારીના આંબા રાખતા ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. તાપમાન અને ભેજમાં જોવા મળતા અસંતુલનને કારણે આંબાવાડીઓમાં મંજરીઓ (મોર) કાળી પડીને ખરવા લાગી છે, જેનાથી આ વર્ષે કેરીના ઉત્પાદન પર જોખમ તોળાઈ રહ્યું છે. તાપમાનમાં 18થી 20 ડિગ્રીનો તફાવત ઘાતકનવસારી પંથકમાં હાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. દિવસે તાપમાનનો પારો 32-33 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જ્યારે રાત્રિના સમયે તે ગગડીને 13થી 14 ડિગ્રીએ પહોંચે છે. દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો આ 18 ડિગ્રી જેટલો મોટો તફાવત આંબાના ઝાડ માટે 'સ્ટ્રેસ' (તણાવ) ઊભો કરે છે. આ પરિસ્થિતિને કારણે આંબા પર લાગેલી મંજરીઓ અને જુવારના દાણા જેવડી કેરીઓ ખરવાની શરૂઆત થઈ છે. ભેજ અને ઝાંકળને કારણે જીવાતનો ઉપદ્રવહાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 40 ટકાથી 80 ટકાની વચ્ચે રહે છે. રાત્રે વધુ ભેજ અને સવારે પડતા ઝાંકળ કે ધુમ્મસને કારણે ભૂકીછારો (Powdery Mildew) અને એન્થ્રેકનોઝ જેવા ફૂગજન્ય રોગોનો વ્યાપ વધ્યો છે. કેરીના પાક માટે દુશ્મન ગણાતા હોપર્સ (મધિયો/દિઘા) અને ડેગા જેવી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. કુદરતી ફ્લાવરિંગ લાવવામાં નિષ્ફળતા મળતા ખેડૂતોએ 'કલતાર'નો સહારો લીધો હતો, પરંતુ હવે પાક બચાવવા મોંઘી દવાઓના વધારાના છંટકાવ કરવા પડી રહ્યા છે. કૃષિ નિષ્ણાતોની સલાહ: કેવી રીતે બચાવવો પાક?નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ભૂપી ટંડેલ અને અનુભવી ખેડૂત વિનાકીન પટેલ દ્વારા ખેડૂતોને નીચે મુજબના સાવચેતીના પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે: ખેડૂત વિનાકીન પટેલે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, આ વર્ષે વાતાવરણ ખેડૂતોની આશાને પડકાર આપી રહ્યું છે. આમ્રમંજરી બચાવવા અત્યારે દવા છાંટવી પડી રહી છે અને બાદમાં ફળ બચાવવા પણ મોટો ખર્ચ થશે. આવક સામે જાવક વધતા આર્થિક ગણતરીઓ ઊંધી પડી રહી છે. નવસારીના સ્વાદપ્રિય લોકો કેરીની મીઠાશ માણવા આતુર છે, પરંતુ જો વાતાવરણમાં આ જ પ્રકારે અનિશ્ચિતતા જળવાઈ રહેશે તો ખેડૂતો માટે આ વર્ષ 'ખાટું' સાબિત થઈ શકે છે. સતત મોનિટરિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી દવાનો છંટકાવ જ હવે ખેડૂતોનો એકમાત્ર સહારો બચ્યો છે.
પાટડી સરકારી હોસ્પિટલમાં દસાડા તરફથી 108 એમ્બ્યુલન્સ દ્વારા બિહારના એક અજાણ્યા યુવાનને કુતરું કરડ્યા બાદ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે, તેઓના કોઈ સગા-સંબંધી અહીં નથી. હોસ્પિટલના કર્મચારી ચંદ્રેશભાઈએ માનવ સેવા પરિવારને આ અંગે જાણ કરી. માનવ સેવા પરિવારે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ યુવાન બિહારના ભટોટર ચકલા, પુણિયાના વતની શંભુ મંડલ છે અને તેઓ પાંચ મહિનાથી ઘરેથી નીકળી ગયા હતા. માનવ સેવા પરિવારે શંભુ મંડલને સાત દિવસ સુધી હોસ્પિટલમાં ભોજન, કપડાં અને ધાબળો પૂરા પાડી સંભાળ રાખી. સંસ્થાના હેતલબેન રાઠોડે તેમના વીડિયો બનાવી ફેસબુક પર વાયરલ કર્યા, જેથી તેમના પરિવારને શોધી શકાય. પરિવારની શોધખોળ માટે પાટડી સેવા સદનના ચૂંટણી અધિકારીની મદદ લેવામાં આવી. હેતલબેન રાઠોડે બિહારના ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કર્યો અને ત્યાંના બી.ઓ.એલ. દ્વારા શંભુ મંડલના પરિવારજનો સાથે વાતચીત કરાવી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આપેલો માનવ સેવા પરિવારનો મોબાઈલ નંબર જોઈને શંભુના બનેવી અને ભાઈએ સંપર્ક કર્યો. ત્યારબાદ શંભુના ભાઈ શ્યામકુમાર મંગલમ અને બનેવી દિલીપ મંડલ બિહારથી સુરેન્દ્રનગરના પાટડી આવ્યા. સ્થાનિક પોલીસને જાણ કરીને, પોલીસ સ્ટાફ, પાટડી હોસ્પિટલના અધિક્ષક શ્યામલાલ, મેડિકલ ઓફિસર હાર્દિકભાઈ અને માનવ સેવા પરિવારના હેતલબેન રાઠોડની હાજરીમાં શંભુ મંડલનું તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. શંભુ મંડલ બિહારના ભટોસર ચકલા, પુણિયા વિસ્તારના રહેવાસી છે. તેમનો વતન નેપાળ બોર્ડરથી આશરે 50 કિલોમીટર દૂર આવેલો છે.
કરસાણા ગામે ૪ ગાય કૂવામાં પડી:ગ્રામજનોએ ભારે જહેમત બાદ તમામનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું
ગોધરા તાલુકાના કરસાણા ગામે મોડી રાત્રે ચાર ગાયો કૂવામાં પડી જવાની ઘટના બની હતી. ગ્રામજનોએ ભારે જહેમત બાદ તમામ ગાયોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. છકડીયા ચોકડી નજીક આવેલા કરસાણા ગામના સીમ વિસ્તારમાં જંગલની જમીન પાસે ગાયો ચરી રહી હતી. મોડી રાત્રિના અંધકારમાં, કોઈ કારણોસર આ ચાર ગાયો અચાનક ત્યાં આવેલા એક ઊંડા અને ખુલ્લા કૂવામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ કરસાણા ગામના યુવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ગાયોને બચાવવા માટે તાત્કાલિક સ્થાનિક સ્તરે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ગ્રામજનોએ ટ્રેક્ટર અને મજબૂત દોરડાઓની મદદથી ચારેય ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ કામગીરીમાં સ્થાનિક લોકોની સમયસૂચકતા અને સક્રિયતા મહત્વપૂર્ણ રહી હતી. ગાયો સુરક્ષિત બહાર આવતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોની આ માનવતાભરી કામગીરીની પ્રશંસા થઈ રહી છે. જોકે, જંગલ વિસ્તારમાં આવેલા અવાવરુ અને ખુલ્લા કૂવાઓ પશુઓ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે.
પાટણ હાઈવે પર ઈકો ગાડી ઝાડ સાથે અથડાઈ, ચાલકનું મોત:એક મહિલા ઈજાગ્રસ્ત, પોલીસ મથકે ગુનો નોંધાયો
પાટણ-ઊંઝા હાઈવે પર ડુંગળીપુરા ગામ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે જતી ઈકો ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાતા તેના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ગાડીમાં સવાર એક મહિલા મુસાફરને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના જોરણંગ ગામના રહેવાસી પ્રહલાદભાઈ કરશનભાઈ બજાણીયાએ પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમનો નાનો ભાઈ શંકરભાઈ કરશનભાઈ બજાણીયા (ઉંમર 30) પેસેન્જર ઈકો ગાડી (નંબર GJ-01-DY-2784) ચલાવી ગુજરાન ચલાવતા હતા. રાત્રિના આશરે 03:00 વાગ્યાના સુમારે શંકરભાઈ ઊંઝાથી પાટણ તરફ પોતાની ઈકો ગાડી લઈને જઈ રહ્યા હતા. ઊંઝા-પાટણ રોડ પર ડુંગળીપુરા ગામ પાસે તેમણે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. જેના કારણે તેમણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈકો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ચાલક શંકરભાઈને શરીરે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, ગાડીમાં મુસાફર તરીકે સવાર કાજલબેન પૂનમચંદ્ર રાવળ (રહે. પાટણ) ને પણ બંને પગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલા હાલ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. પાટણ સીટી બી. ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય નાયિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 281, 125(b), 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટમાં આજે GST વિભાગ દ્વારા મોબાઈલ વિક્રેતાઓ પર મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના એસ્ટ્રોન ચોક સ્થિત જાણીતા ઉમિયા મોબાઈલ સહીતના મોબાઈલ શોરૂમ્સ પર સેન્ટ્રલ GST વિભાગની ટીમોએ અચાનક ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાર્યવાહીમાં ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલીકોમ અને ઓપો સ્ટોર જેવા પ્રતિષ્ઠિત એકમોનો સમાવેશ થાય છે. રવિવારે રજાના દિવસે જ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર શહેરના વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે તપાસના અંતે શું ખુલાસો થશે તે જોવું મહત્વનું રહેશે. સેન્ટ્રલ GST વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથેની ટીમો આજે અચાનક જુદા-જુદા મોબાઈલ શોરૂમ્સ પર આવી પહોંચી હતી. અધિકારીઓએ દુકાનોમાં પ્રવેશતાની સાથે જ શટર બંધ કરાવી દીધા હતા અને અંદર તપાસ શરૂ કરી દીધી હતી. એસ્ટ્રોન ચોક વિસ્તારમાં રવિવાર અથવા રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે ઉમટી પડતા હોય છે અને આજે રવિવારે જ સેન્ટ્રલ GSTની રેડના કારણે ગ્રાહકોમાં પણ કુતૂહલ અને મુંઝવણ જોવા મળી હતી. કારણ કે, શટર બંધ હોવા છતાં અંદર દસ્તાવેજો અને સ્ટોકની ચકાસણી કરવામાં આવી રહી છે. GST વિભાગ દ્વારા આ તપાસ મુખ્યત્વે કરચોરીના શંકાસ્પદ વ્યવહારોને લઈને કરવામાં આવી રહી છે. વિભાગને આશંકા છે કે શોરૂમ્સમાં બિલ વિનાના મોબાઈલ ફોનનું વેચાણ, જૂના મોબાઈલના વ્યવહારોમાં GSTની ચોરી અને અન્ય નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી રહી છે. હાલ અધિકારીઓ દ્વારા વેચાણના બિલો, જીએસટી રિટર્ન અને ફિઝિકલ સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન GST ચોરી થતી હોવાનું સામે આવશે તો વેપારીઓ સામે દંડ સહિત GST વસૂલવા સહિતની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અગાઉ પણ બોગસ બિલિંગ અને ટેક્સ ચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે વિભાગ સતર્ક બન્યું છે. એસ્ટ્રોન ચોકની આ કાર્યવાહીને પગલે આસપાસની અન્ય મોબાઈલ શોરૂમ અને દુકાનોના સંચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતી આ તપાસ મોડી રાત સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. આ તપાસના અંતે શું સામે આવશે તે જોવું મહત્વનું રહેશે.
પાનમ સિંચાઈના નિવૃત્ત અધિકારી સામે ACB કાર્યવાહી:₹33 લાખથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
પંચમહાલ ACB એ પાનમ સિંચાઈ પેટા વિભાગના નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલકુમાર શાહ સામે કાર્યવાહી કરી છે. તેમની સામે આવક કરતાં વધુ, એટલે કે ₹33 લાખથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મિલકત તેમની કાયદેસરની આવક કરતાં 74% થી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ACB દ્વારા વર્ષ 2004 થી 2015 સુધીના 11 વર્ષના સમયગાળાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્નેહલકુમાર શાહની કાયદેસરની આવક, તેમના ખર્ચ અને રોકાણોની વિગતો ચકાસવામાં આવી હતી. તપાસના અંતે, કુલ ₹33,00,000 (33 લાખ) થી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ રકમ તેમની કુલ કાયદેસરની આવકની સરખામણીમાં 74.19% જેટલી વધુ હોવાનું નોંધાયું છે. સ્નેહલકુમાર શાહ આ મોટી રકમનો હિસાબ આપી શક્યા ન હોવાથી, ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સમગ્ર મામલાની વધુ તપાસ મહીસાગર ACB ને સોંપવામાં આવી છે. મહીસાગર ACB હવે આ મિલકતોના અન્ય સ્ત્રોતો અને વ્યવહારોની તપાસ કરશે.
શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા આજે રાજકોટના પ્રવાસે છે, ત્યારે તેઓએ સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમા ખોડીયાર સ્કીલ નંબર 76ના રૂ.2.63 કરોડના ખર્ચે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતુ. જોકે, આ તકે કોંગ્રેસના કોર્પોરેટરો અહીં પહોંચ્યા હતા અને શિક્ષણમંત્રીનું બુકે આપી સ્વાગત કર્યુ હતુ. જે બાદ તેમણે આવકાર આપતી સ્પીચ સમયે સ્ટેજ પરથી વોર્ડ નંબર 15માં ભાડાના મકાનમાં માત્ર બે રૂમમાં 17 વર્ષથી ધમધમતી સ્કૂલ નંબર 99ને જમીન ફાળવી નવું બિલ્ડિંગ બનાવવા માગ કરી હતી. આ કાર્યક્રમ બાદ શિક્ષણ મંત્રીને સ્કૂલ નં. 99 વિશે સવાલ કરતા ગેંગેંફેંફેં થઈ આમતેમ ડોકી ફેરવી હતી. આ સમયે બાજુમાં હાજર ધારાસભ્ય ઉદય કાનગડે ડો. પ્રદ્યુમન વાજાનું મીડિયાના સવાલોથી રેસ્ક્યૂ કરી કામ પાપલાઈનમાં હોવાનું જણાવી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. શાળા ભાડાના મકાનમાં બે રૂમમાં ચાલે છેરાજકોટમાં શાળા નંબર 99 ભાડાના મકાનમાં ચાલતી હોવા છતાં નવી શાળા માટે જમીન ફાળવવામાં આવતી ન હોવાના મુદ્દે કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકા સામે અગાઉ ઉગ્ર વિરોધ નોંધાવી ચૂકી છે ત્યારે આજે શિક્ષણમંત્રીની હાજરીમાં કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ શાળાનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ શાળા ભાડાના મકાનમાં બે રૂમમાં ચાલે છે. અહીં 214 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ બની રહ્યું હતું ત્યારે પણ સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરને પત્ર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, બજેટમાં શાળા નંબર 99 માટે અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે પરંતુ આજદિન સુધી કોઈ ગ્રાન્ટ આપવામાં આવી નથી. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં નસવાડીમાં સરકારી શાળામાં શિક્ષક બે દિવસથી હાજર નથી. જેથી ગ્રામજનો દ્વારા શાળા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે જે અંગે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અમરેલી જિલ્લા વિધાસભાના પૂર્વ નિયામક ડૉ. ગિરીશ ભીમાણીએ વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના કરતૂત અંગે પૂછવામાં આવતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે તે સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. શિક્ષણમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા હતાઆ દરમિયાન શિક્ષણમંત્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સ્થિત સમરસ બોયઝ હોસ્ટેલની મુલાકાત લેવા જશે. જ્યાં વિદ્યાર્થીઓએ અગાઉ ભોજનમાં ઈયળ, મેન્ટેનન્સનો અભાવ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ બાબતે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તેમણે અધિકારીઓને ખખડાવ્યા હતા અને હવે તેમની બીજી મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રી ત્યાં રૂબરૂ જશે. આ ઉપરાંત તેમણે કાલાવડ રોડ ઉપર આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકર કન્યા છાત્રાલયની મુલાકાત લેશે. જે બાદ સાંજે 5 વાગ્યે મોહનભાઈ હોલ ખાતેથી રાજકોટના દરેક વિસ્તારમાં રહેતા વાલ્મિકી સમાજ માટે રાજકોટ વાલ્મિકી સમાજ ડિજિટલ સર્વે -2026 વેબ પોર્ટલનુ લોન્ચિંગ કરશે અને આ સાથે જ ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ‘ટીપીનો પ્લોટ ફાળવી નવી શાળાનું બિલ્ડીંગ બનાવાશે’ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે તેમને શાળા નંબર 99 યાદ આવી છે પરંતુ તે કામ પાઇપલાઇનમાં છે. કોર્પોરેશન દ્વારા ટીપીનો પ્લોટ ફાળવી નવી શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ તથા પશુપાલન મંત્રી જીતુ વાઘાણી આજે બનાસકાંઠાની મુલાકાતે છે. તેઓ વડગામના ભૂખલા ખાતે બનાસ સુઝુકી બાયો-CNG પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટ બનાસ ડેરી અને સુઝુકી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સ્થાનિક પશુપાલકો અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત થોડીવારમાં વડગામના ભૂખલા ખાતે પહોંચશે અને આ કાર્યક્રમમાં ભાગ લેશે.
મૌની અમાવસ્યા: શિવ મંદિરોમાં પિતૃ પૂજા:ત્રિવેણી સંગમે ગ્રહ શાંતિ માટે પૂજાઓ યોજાઈ
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં મૌની અમાવસ્યા નિમિત્તે શિવ મંદિરો અને ત્રિવેણી સંગમ પર પિતૃ પૂજા અને ગ્રહ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનો સવારથી પ્રારંભ થયો હતો. હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. યજમાનોની ઉપસ્થિતિમાં પિતૃપૂજા, કાલસર્પ પૂજા અને ગ્રહ શાંતિ પૂજાઓ યોજાઈ હતી. મંદિર પરિસર બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રો અનુસાર, આ દિવસે શિવ પૂજા કરવાથી પિતૃ શાંતિ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ, આજે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું પણ મહત્વ છે.
ભરૂચના ભોલાવ પંચાયત વિસ્તારમાં કુલ રૂ. 95 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગટર અને માર્ગ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, ભોલાવ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નારાયણ કુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે રૂ. 25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને રૂ. 40 લાખના ખર્ચે માર્ગ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત, ભોલાવ પંચાયતથી પાર્થનગર સુધી રૂ. 30 લાખના ખર્ચે પૂર્ણ થયેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યોનો મુખ્ય હેતુ ભોલાવ પંચાયત વિસ્તારના લોકોની સુખાકારી અને નાગરિક સુવિધાઓમાં વધારો કરવાનો છે.
સુરત શહેરના ભીમરાડ વિસ્તારમાં એક ઓટો ગેરેજમાં રહસ્યમય સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સંપૂર્ણ ગેરેજ તેની ઝપેટમાં આવી ગયું હતું અને અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, આ આગ અકસ્માત છે કે કોઈએ જાણીજોઈને લગાડી છે, તે બાબતે હાલ રહસ્ય સર્જાયું છે. ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળીમળતી વિગતો અનુસાર, ભીમરાડ રોડ પર આવેલા સ્વામી બા પાર્ટી પ્લોટની બાજુમાં 'અંબિકા ઓટો ગેરેજ' નામની દુકાન આવેલી છે. આ ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગેરેજમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી. પેટ્રોલિંગમાં રહેલી સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાની ગંભીરતા સમજી ભીમરાડ ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ટાયરો, ટ્યુબો, એન્જિન ઓઈલથી આગે વિકરાળ રૂપ લીધુંકોલ મળતાની સાથે જ ભીમરાડ ફાયર સ્ટેશનના ફાયર સબ ઓફિસર જયેશ લાડ તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ગેરેજની અંદર રબરના ટાયરો, ટ્યુબો, એન્જિન ઓઈલના કેન અને અન્ય સ્પેરપાર્ટ્સનો મોટો જથ્થો હોવાથી આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેલ અને ટાયરોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને આખું ગેરેજ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગેરેજ માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ લાગી કે લગાડવામાં આવી?આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિકોમાં એવી ચર્ચા શરૂ થઈ કે આ આગ કુદરતી કે શોર્ટ સર્કિટથી નથી લાગી, પરંતુ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા લગાડવામાં આવી છે. ગેરેજ જે રીતે રહસ્યમય રીતે આગની લપેટમાં આવ્યું તેને જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ગેરેજમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ ટેકનિકલ કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે કોઈ અંગત અદાવતમાં આ કૃત્ય આચરવામાં આવ્યું હોઈ શકે છે. પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર સ્થિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખેડૂતોના પરસેવાની કમાણીના નાણાં બારોબાર ઉપાડી લેવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બેંકના કેશિયર દ્વારા આશરે 100થી વધુ ખાતેદારોના ખાતામાંથી અંદાજે ₹3થી 5 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ખેડૂતોએ ઢસા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માગ કરી છે. ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશ ગોધાણીએ ખેડૂતો સાથે બેઠક કરી જમાવ્યું હતું કે, કોઈપણ ખેડૂતને એકપણ રૂપિયાનું નુકસાન નહીં થાય. તમામના નાણાં પરત મળશે. શું છે સમગ્ર મામલો?જલાલપુર શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતો આનંદ નામનો કર્મચારી છેલ્લા ચાર મહિનાથી ખાતેદારોની પાસબુકમાં એન્ટ્રી પાડવાનું ટાળતો હતો. ગત 12 તારીખથી તે અચાનક બેંકમાં આવતો બંધ થઈ ગયો હતો. જ્યારે ખેડૂતોએ બેંકમાં તપાસ કરાવી, ત્યારે તેમના ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે ખેડૂતોએ કોઈ ચેક આપ્યો નથી કે ઉપાડની સ્લિપ પર સહી કરી નથી, છતાં ₹5 લાખથી લઈને ₹15 લાખ સુધીની રકમો બારોબાર ઉપાડી લેવામાં આવી છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો) સુરેશ ગોધાણીની મુલાકાત અને આશ્વાસનઆ ગંભીર ઘટનાની જાણ થતા જ બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી તુરંત જલાલપુર ગામે દોડી ગયા હતા. તેમણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી. ખેડૂતોને સાંત્વના આપતા ગોધાણીએ જણાવ્યું હતું કે, આ બેંક કર્મચારીએ વિશ્વાસઘાત કરીને મોટું ફ્રોડ કર્યું છે. બેંકના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ અને જરૂરી કાગળો કબ્જે કર્યા છે. મેં બેંકના ચેરમેન સાથે પણ વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે કોઈપણ ખેડૂતને એક પણ રૂપિયાનું નુકસાન નહીં થાય. તમામના નાણાં પરત મળશે. ભોગ બનનાર ખેડૂતોની વ્યથાવીકળીયાના લાભુ કાવેઠિયા: મારા ખાતામાંથી ₹12 લાખ ઉપડી ગયા છે અને માત્ર ₹24 હજાર જ બાકી રહ્યા છે. મારી 3 વર્ષની કમાણી મેં બેંકમાં મૂકી હતી. નિકુલ સિંઘવ (જલાલપુર માંડવા): અમે કોઈ સહી કરી નથી છતાં મારા ખાતામાંથી ₹9 લાખ ગાયબ છે. કેશિયર 12 તારીખથી ગાયબ છે અને બેંક મેનેજરે તપાસનું બહાનું કાઢ્યું છે. વિનુ કાછડિયા (જલાલપુર): મારે 29 તારીખે દીકરા-દીકરીના લગ્ન છે. ₹12.50 લાખ ઉપડી ગયા છે. લગ્નપ્રસંગે જ આવી મુસીબત આવતા હવે શું કરવું તે સમજાતું નથી. બેંકના મેનેજર વિજયસિંહ પરમારે જણાવ્યું છે કે, હેડ ઓફિસની ટીમ દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં 10થી 15 સભાસદોના ખાતાની વિગતો પ્રાથમિક રીતે સામે આવી છે, પરંતુ કુલ આંકડો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઢસા પોલીસે પણ જલાલપુર બેંક ખાતે જઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હાલ યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં છે. જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ સૌપ્રથમ રાજકોટ આવેલા પ્રશાંત કોરાટનું સ્થાનિક ભાજપનાં અફેવનો દ્વારા ઢોલ-નગારાનાં તાલે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રશાંત કોરાટે આગામી કોર્પોરેશન ચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે ચૂંટણીનાં પડકારો અંગે પૂછતાં ચાલતી પકડી હતી. પ્રદેશ ભાજપમાં યુવાઓના વધતા દબદબાના પ્રતીક સમા પ્રશાંત કોરાટના સ્વાગત માટે રાજકોટના સિનિયર નેતાઓ અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યકરોમાં એટલો ભારે જોશ હતો કે પ્રશાંત કોરાટ જેવા પોતાની કારમાંથી ઉતર્યા, તરત કાર્યકરોએ તેમને ખભે બેસાડી દીધા હતા અને નારાબાજી સાથે સ્ટેજ સુધી દોરી લાવ્યા હતા. ઢોલ-નગારાના ગુંજારવ અને ફટાકડાના આતશબાજી વચ્ચે આખું વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. મહિલા મોરચાના આગેવાનોએ પરંપરાગત રીતે કુમકુમ તિલક કરી અને પુષ્પવર્ષા કરીને તેમને વધાવ્યા હતા. કોર્પોરેશન ચૂંટણીમાં જીતનો વિશ્વાસ સ્વાગત કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કોરાટે પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પક્ષના નેતૃત્વનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે, પક્ષે જે વિશ્વાસ મૂકીને તેમને મહત્વની જવાબદારી સોંપી છે, તે માટે તેઓ કટિબદ્ધ છે. આગામી રાજકીય વ્યૂહરચના અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હવે આવનારી રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે ભવ્ય જીત મેળવશે. કાર્યકરોનો આ ઉત્સાહ જ વિજયની નિશાની છે. પડકારો અંગે મૌન જોકે, જ્યારે મીડિયા દ્વારા આગામી ચૂંટણીના પડકારો અને સંગઠનની આંતરિક બાબતો અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે પ્રશાંત કોરાટે કુનેહપૂર્વક તે સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. અને ત્યાંથી ચાલતી પકડી હતી. પ્રશાંત કોરાટએ માત્ર પક્ષની એકતા અને વિજયી રથને આગળ ધપાવવા પર જ ભાર મૂક્યો હતો. પરંતુ ભાજપ સામે આમ આદમી પાર્ટી સહિતના પડકારો અને ભાજપનાં આંતરિક જૂથવાદ અંગે કંઈપણ બોલવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કોરાટનાં પ્રદેશ મહામંત્રી પદે આગમનથી રાજકોટ શહેર અને જિલ્લાનાં કાર્યકરોમાં નવો સંચાર જોવા મળ્યો છે. ખાસ કરીને યુવા કાર્યકરોમાં પ્રશાંત કોરાટની નિમણૂકથી એક પોઝિટિવ મેસેજ ગયો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આ સ્વાગત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો સહિત સ્થાનિક આગેવાનોએ હાજર રહી સંગઠનની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. ત્યારે આગામી દિવસોમાં કોરાટના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્રમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બને છે કે નહીં તે જોવું રહ્યું.
રાજકોટ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે માનવીય સંવેદના અને ઝડપી કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જાગૃત નાગરિકની સતર્કતા અને સરકારી તંત્રની નિષ્ઠાને કારણે 8 વર્ષનો એક બાળક જે રસ્તો ભટકી ગયો હતો, તે ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે તેના માતા-પિતા પાસે પહોંચી શક્યો છે. ઘટનાની વિગત મુજબ, 181 હેલ્પલાઇન પર એક નાગરિકે બાળક એકલું હોવાની જાણ કરી હતી. કાઉન્સેલર બીનાબેન ગોહિલ અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને વિશ્વાસમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બાળકના વાલી-વારસની ભાળ ન મળતા ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ના યોગેશભાઈ અને પિયુષભાઈની ટીમને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ટીમ દ્વારા અટિકા વિસ્તાર, નજીકની શાળાઓ અને પુલ નીચેના રહેણાંક વિસ્તારોમાં બાળકના ફોટા સાથે તપાસ કરવામાં આવી હતી. અંતે મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપાયો હતો, જ્યાં પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરી બાળકના ભાઈને શોધી કાઢ્યો હતો. બાળકના માતા-પિતાની ઓળખ ચકાસ્યા બાદ બાળકને તેમને સોંપવામાં આવ્યું હતું. આ તકે અધિકારીઓએ વાલીઓને ઠપકો આપતા સમજાવ્યું હતું કે, નાની ઉંમરના બાળકોને એકલા બહાર મોકલવા એ ગંભીર બેદરકારી છે. બાળકના પરિવારે પોતાની ભૂલ સ્વીકારી તમામ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તંત્રએ અપીલ કરી છે કે જ્યારે પણ કોઈ બાળક સંકટમાં દેખાય ત્યારે તુરંત 181 કે 1098 પર જાણ કરવી
ખેરાલુના રૂદ્રાક્ષ પેટ્રોલ પંપ નજીક ગત મોડી રાત્રે બે આઇવા ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાત્રિના અઢી વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. બે ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાયામળતી માહિતી પ્રમાણે એક ડમ્પર ભેમાળનું અને બીજું કહોળાનું હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ બંને ગાડીઓના ચાલકોએ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બંને ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને વાહનોને નુકસાન થયું છે. બંને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવારમાં ખસેડાયાઅકસ્માતની જાણ થતા જ ખેરાલુ 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ના પાયલોટ જયંતિભાઇ પરમાર અને EMT નરસિંહજી ઠાકોરે તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત ડ્રાઇવરોને પ્રાથમિક સારવાર આપી ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. એકની હાલત ગંભીર થતાં વડનગર ખસેડાયોખેરાલુ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને ડ્રાઇવરોની હાલત જોતા તેઓને વધુ સારવાર માટે વડનગર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી ઉમતા ગામના ચાલક શર્માજી ઠાકોરને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મોડી રાતે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતીઅકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખેરાલુ પોલીસની વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી વાહનવ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાઈસ્કૂલ નજીક પાર્ક કરેલી એક સ્વીફ્ટ કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે સ્વીફ્ટ કાર (નંબર GJ 3 FD 2397) ની તપાસ કરતા તેમાંથી 144 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂ. 1,58,400 આંકવામાં આવી છે. પોલીસે રૂ. 1,58,400 ની કિંમતનો દારૂ અને રૂ. 3 લાખની કિંમતની સ્વીફ્ટ ગાડી સહિત કુલ રૂ. 4,58,400 નો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન કારનો ચાલક સ્થળ પર હાજર ન હોવાથી તે ફરાર થઈ ગયો હતો. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

23 C