SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

કચરાના ઢગલાની દુર્ગંધથી 50 સોસાયટી સહિત મકરપુરાના રહીશો ત્રાહિમામ:'સ્માર્ટ સિટીના નામે કરોડો ભાજપના નેતાઓના ખિસ્સામાં ગયા', ટેક્સ લેવા શહેરમાં ભેળવ્યાનો વડદલાના સ્થાનિકોનો આક્ષેપ

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યારે ભાસ્કર ટીમ પહોંચી છે વડોદરા શહેરના વોર્ડ નં-19માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. વોર્ડ નં-19માં નવા વિસ્તારમાં વડદલા ગામનો પણ સમાવેશ થાય છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીશું. ​વડોદરા શહેરના તરસાલી અને જામ્બુવા બ્રિજ વચ્ચે નેશનલ હાઈવે પર આવેલી ડમ્પિંગ સાઈટ પર આખા શહેરનો કચરો ઠાલાવવામાં આવે છે. જેને કારણે કચરાનો મોટો ઢગલો થઈ ગયો છે. જેથી આસપાસની 40થી 50 સોસાયટીના અને મકરપુરા ગામના રહીશો દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે. આ ઉપરાંત હાઈવે પરની હોટેલોના સંચાલકો પણ ત્રાસી ગયા છે. હોટલમાં લોકો જમવા પણ આવતા નથી. જેને કારણે ધંધા પણ ઠપ થઈ ગયા છે. તરસાલી વિસ્તારના સ્થાનિક અગ્રણી રાકેશ પાટીલે જણાવ્યું હતું કે, વડોદરામાં 'સ્માર્ટ સિટી' ના નામે કરોડો રૂપિયા આવ્યા, પણ એ માત્ર ભાજપના નેતાઓના ખિસ્સામાં જ ગયા હોય તેવું લાગે છે. વડદલાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવ્યા, કોઈ સુવિધાઓ મળતી નથી. ઇન્દિરા નગરમાં લોકોને પાણી મળતું નથી, પોતાના પૈસે બોટલ મંગાવા મજબૂરવડોદરા શહેરના વોર્ડ નંબર-19ના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને રસ્તાની સમસ્યાઓથી અહીંના લોકો ત્રસ્ત થઈ ગયા છે. આ સમસ્યાઓને ઉકેલવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમના આ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેના કારણે વોર્ડ નંબર 19ના લોકોમાં ભારે આક્રોશ છે. સૌથી પહેલા અમે ઇન્દિરા નગરમાં પહોંચ્યા, જ્યાં અહીંના લોકોને પાણી જ મળતું નથી. લોકો પીવા માટે પૈસા ખર્ચને બોટલ મંગાવે છે. વેરો ભરતા હોવા છતાં પાણી જેવી પ્રાથમિક સુવિધાનો મળતા અહીંના લોકોમાં ભારે આક્રોશ છે. રસ્તાઓ ઉબડખાબડ, ચોમાસામાં તો ઘરોમાં પાણી ઘૂસે છેઅહીં ગટરો પણ ઉભરાય છે. તેમના વિસ્તારના રસ્તાઓ સાંકડા હોવાથી એમ્બ્યુલન્સ પર આવી શકતી નથી. આગ લાગે તો ફાયર બ્રિગેડની ગાડી પણ ન પહોંચી શકે. અહીંના રસ્તાઓ ઉબડખાબડ છે. જેને કારણે સિનિયર સિટીઝન ઘણીવાર પડી જાય છે અને અકસ્માતો પણ થાય છે. આ ઉપરાંત વીજ થાંભલાઓ પડી જાય તેવી સ્થિતિમાં છે, જેને કારણે ભયનો પણ માહોલ છે. ચોમાસામાં તો ઘરોમાં પાણી ઘૂસી જાય છે. જેથી ઘરનો સામાન પણ પલળી જાય છે. 'અમે વેરા નિયમિત ભરીએ છીએ, છતાં સુવિધા નથી'ઇન્દિરાનગરના સ્થાનિક મહિલા હીરાબેને વ્યથા રજૂ કરતા કહ્યું કે, આ રોડનો તો બહુ જ પ્રોબ્લેમ છે. અમે ચાલવા જઈએ તો ઠોકર વાગે છે અને કેટલીય વાર પડી પણ જવાય છે. હું પોતે બે-ત્રણ વાર પડી ગઈ છું. રસ્તો એટલો ખરાબ છે કે ચાલવું મુશ્કેલ છે અને બાઇક વાળા પણ કેટલીય વાર અહીં લપસીને પડી જાય છે. 'અમારા વિસ્તારમાં કોઈ નેતા ડોકાતું પણ નથી'સ્થાનિક હીરાબેને વધુમાં જણાવ્યું હતું કે, પાણીના નળની લાઈન તો હજી સુધી આવી જ નથી. અમે તો બોરિંગ કરાવીને પાણી મેળવીએ છીએ. પાઈપો આવી ગઈ છે પણ નાખવા કોઈ આવ્યું નથી. અમે ઘર દીઠ 3000-3000 રૂપિયા પણ ઉઘરાવીને આપ્યા છે છતાં કામ થતું નથી. કોઈ પણ નેતા અહીં જોવા આવતું નથી. અમારા વિસ્તારમાં કોઈ નેતા ડોકાતું પણ નથી. 'ખુલ્લા વાયરોને કારણે એક નાના છોકરાને કરંટ લાગ્યો હતો'ઇન્દિરાનગરના સ્થાનિક મહિલા સોનલબેન જોષીએ જણાવ્યું હતું કે, આ વીજળીના થાંભલાની સમસ્યા છે. આ થાંભલા એટલા બધા નીચા થઈ ગયા છે અને એવી હાલતમાં છે કે ગમે ત્યારે પડી શકે તેમ છે. એક થાંભલો તો સાવ અંદર ઘૂસી ગયો છે અને પડવાની અણી પર છે. ચોમાસામાં આ ખુલ્લા વાયરોને કારણે એક નાના છોકરાને કરંટ લાગ્યો હતો. એ છોકરાના પિતા તો દુબઈ હતા, પણ અહીં પબ્લિક ભેગી થઈ ગઈ અને જેમ-તેમ કરીને એ બાળકનો જીવ બચાવ્યો. આ વાયરો સાવ નીચા છે, જે ખૂબ જ જોખમી છે. 'પીવાનું પાણી તથા ગટરની સુવિધા આપો'સ્થાનિક મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. અમને નવા થાંભલા જોઈએ, આ જોખમી વાયરો બદલી આપો, રસ્તા વ્યવસ્થિત કરો અને પીવાનું પાણી તથા ગટરની સુવિધા આપો. ખુલ્લા નાળામાંથી આવતી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવભાસ્કર ટીમ ઇન્દિરા નગરથી આગળ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર તરસાલી બાયપાસ પાસે પહોંચી, જ્યાં ખુલ્લા નાળામાં ગટરના પાણી છોડાયા છે. જેને કારણે અહીં દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ છે. લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. 'વડોદરાના સાંસદ હેમાંગ જોશીનો આ વિસ્તાર છે'તરસાલી વિસ્તારના સ્થાનિક અગ્રણી રાકેશ પાટીલે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 19માં છેલ્લા 30 વર્ષમાં કોઈપણ જાતનો વિકાસ થયો નથી. જે પરિસ્થિતિ 30 વર્ષ પહેલાં હતી, એ જ પરિસ્થિતિ અત્યારે પણ છે. તમે આ નાળાની સ્થિતિ જોઈ શકો છો. વડોદરાના સાંસદ હેમાંગ જોશી, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને વોર્ડ નંબર 19ના કોર્પોરેટરો ઘનશ્યામ પટેલ, અલ્પેશ લીંબચીયા અને હેમલતાબેન તડવીનો વિસ્તાર છે. આ લોકોએ શું કામ કર્યા છે તે અહીં પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. 'સ્થાનિકો પરેશાન, પણ તંત્ર કે નેતાઓ કંઈ સાંભળવા તૈયાર નથી'રાકેશ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ આખો રહેણાંક વિસ્તાર છે અને અહીંથી જ વડોદરામાં હાઈવે પરથી એન્ટ્રી થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ શહેરમાં પ્રવેશે ત્યારે તેને સૌથી પહેલા આ ખુલ્લાં નાળાં અને ગટર જ જોવા મળે છે. શું આને સ્માર્ટ સિટી કહેવાય? આ નાળાના કારણે અહીં મચ્છરોનો ભારે ત્રાસ છે. 'અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવ્યા, કોઈ સુવિધાઓ મળતી નથી'વડોદરા શહેરનો વિસ્તાર ધીમે ધીમે વધી રહ્યો છે, જેમાં વડદલા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વડદલા ગામ પહેલા આવતી સોસાયટીઓનો પણ સમાવેશ થાય છે. દિવ્ય ભાસ્કરની ટીમે સોસાયટીઓમાં પહોંચી, અહીંના રહીશો પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે પરંતુ અહીંના રહીશો પાણી માટે આજે પણ વલખા મારે છે. અહીં સ્ટ્રીટ લાઈટનો સદંતર અભાવ છે. રાત્રિના સમયે રોડ સુમસામ બની જાય છે. અહીંયા લોકો કહે છે કે, અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવવામાં આવ્યા છે, અમને કોઈ સુવિધાઓ મળતી નથી. ગામડામાં રહેતા હોય તેવું લાગે છે. કોઈ નેતા અહીં જોવા માટે આવતા નથી. 'સૌથી મોટી સમસ્યા રોડની અને લાઈટની છે'વડદલા રોડ પર આવેલ તીર્થ એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા મંગાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા રોડની અને લાઈટની છે. રોડ પર સ્ટ્રીટ લાઈટ સમયસર ચાલુ નથી થતી અને ઘણી જગ્યાએ લાઈટો વચ્ચે અંતર વધારે હોવાથી અંધારું રહે છે. બીજું, આ રોડનું કામ વર્ષોથી અધૂરું પડ્યું છે. વડદલા રોડ પર ઢગલા કરી છોડી દે છે. જેના કારણે રાત્રે અંધારામાં કેટલાય સિનિયર સિટીઝનોના એક્સિડન્ટ થયા છે, પણ તંત્રની નજરમાં આ આવતું નથી. 'વડોદરામાં ભેળવ્યા પછી કોઈ ફાયદો થયો નથી, માત્ર નુકસાન છે'મંગાભાઈ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, પાણીની ટાંકી બની ગઈ તેને પણ કેટલાય વર્ષો થઈ ગયા છે. આજુબાજુના વિસ્તારોમાં પાણી ચાલુ થઈ ગયું છે પણ અમારી સોસાયટીમાં હજુ પાણી આવતું નથી. અમે રજૂઆત કરવા જઈએ તો કહે છે કે કનેક્શન લેવા માટે પૈસા ભરો. અમે બિલ્ડરને વાત કરીએ તો તે પણ 'ભરું છું, ભરું છું' કહીને વાયદા કરે છે. અમને ટેક્સના નામે વડોદરામાં ભેળવી દીધા છે પણ સુવિધા ઝીરો છે. ટેક્સ ભરવામાં મોડું થાય તો વ્યાજ લે છે, પણ સુવિધા ન આપવા બદલ કોઈ વ્યાજ આપતું નથી. અમારા માણસો અને બિલ્ડર પાણી માટે ત્રણ-ચાર ધક્કા ખાઈ આવ્યા છે. સોસાયટીના લોકો પણ રજૂઆત કરવા ગયા છે, પણ ત્યાંથી મીઠો જવાબ આપી દે છે અને પછી બધું ભૂલી જાય છે. અમને વડોદરામાં ભેળવ્યા પછી કોઈ ફાયદો થયો નથી, માત્ર નુકસાન જ ગયું છે. '15-20 સોસાયટીઓમાં હજુ પણ પાણીની તકલીફ'વડદલા રોડ પર આવેલી તીર્થ એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા કિરણ મકવાણાએ જણાવ્યું હતું કે, અમે 2013થી આ સોસાયટીમાં રહીએ છીએ. 2019માં આ વિસ્તાર કોર્પોરેશનમાં આવી ગયો છે, પરંતુ હજુ સુધી અમને કોર્પોરેશનની કોઈ પાયાની સુવિધાઓનો લાભ મળ્યો નથી. ન તો કોઈ કોર્પોરેટર કે મંત્રીએ અમારી મુલાકાત લીધી છે કે ન તો અમારી તકલીફો પર ધ્યાન આપ્યું છે. અહીં પાણીની ટાંકી બની ગઈ છે અને વડદલા રોડની શરૂઆતમાં આવેલી નવી નગરી તેમજ વડદલા ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. 'અમને પાયાની સુવિધાઓ જ ન મળતી હોય, તો આ ટેક્સ લેવાનો અર્થ શું?'કિરણ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ટેક્સ ભરીએ છીએ, પણ ખબર નથી પડતી કે આ ટેક્સ કઈ સુવિધા માટે લેવામાં આવે છે. જો અમને પાયાની સુવિધાઓ જ ન મળતી હોય, તો આ ટેક્સ લેવાનો અર્થ શું?, રસ્તાનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. ચૂંટણીઓ નજીક આવી એટલે કામ બંધ થઈ ગયું છે. રસ્તા પર જે ચેમ્બરો બનાવવામાં આવ્યા છે તે દોઢથી બે ફૂટ ઊંચા છે, જે ખૂબ જ જોખમી છે. ગઈકાલે જ હું ટુ-વ્હીલર પર આવતો હતો ત્યારે સામેથી બસ આવતી હતી, મારે અચાનક બ્રેક મારવી પડી કારણ કે આ ઊંચા ચેમ્બરોને લીધે અકસ્માત થવાનો પૂરો ભય રહે છે. મારી એટલી જ વિનંતી છે કે વિકાસ માત્ર વડોદરાના અમુક વિસ્તારો પૂરતો સીમિત ન રાખતા અહીં પણ ધ્યાન આપે. 'ચૂંટણી વખતે જ નેતાઓ આવે છે, બાકી કોઈ આવતું નથી'સ્થાનિક મહિલા હરમિંદર કૌર સંધુએ જણાવ્યું હતું કે, અમે ઈમાનદારીથી વોટ આપવા જઈએ છીએ, પણ અહીં કોઈ આવવા તૈયાર નથી. બહુ જ તકલીફ પડે છે. રસ્તામાં એટલા ખાડા છે કે ગાડી ચલાવીએ તો પેટમાં દુખવા લાગે છે. કોઈને એક્સિડન્ટ થાય કે કોઈ બીમાર પડે, તો એને કેવી રીતે દવાખાને લઈ જવો એ તો અમને જ ખબર છે. ચોમાસામાં તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. પીવાના પાણીની પણ સમસ્યા છે અને અમે વેરા તો પૂરેપૂરા ભરીએ છીએ, છતાં કોઈ સુવિધા મળતી નથી. 'બધા ખાલી 'હા કરીશું' કહીને ચૂંટણી વખતે જ દેખાય છે'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બહુ બધી રજૂઆતો કરી છે, અમે બોલ્યા પણ ખરા, પણ કોઈ સાંભળવા જ તૈયાર નથી. બધા ખાલી 'હા કરીશું, હા કરીશું' કહીને ચૂંટણી વખતે જ દેખાય છે. અત્યારે તો એવું લાગે છે કે બધાય આંધળા-બહેરા અને મૂંગા થઈ ગયા છે. પેલી કહેવત છે ને કે 'અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા' – બસ એવી જ હાલત અહીં થઈ ગઈ છે. 'એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકતી નથી'વડોદરાના વોર્ડ નં. 19ના કોંગ્રેસના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 19માં, ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં અને ડેપોની પાછળના ભાગમાં અનેક ગંભીર સમસ્યાઓ છે. સ્લમ વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે અને ગટરની કોઈ યોગ્ય સુવિધા નથી. અહીં રસ્તાઓ એટલા સાંકડા છે કે કોઈ ઇમરજન્સી હોય, જેમ કે ડિલિવરી કે અન્ય કોઈ જાનહાનિનો પ્રસંગ હોય, ત્યારે એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકતી નથી. મેઈન રોડ પર સોસાયટીઓએ દબાણ કરેલું છે, જે દૂર કરવામાં આવતું નથી. અમે આ બાબતે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાતા નથી. ‘મોદીના નામ પર વોટ મેળવીને જીતી જાય, પછી વિસ્તારમાં ફરતા પણ નથી’વોર્ડ નં. 19ના કોંગ્રેસના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાજે કહ્યું કે, અહીંના કોર્પોરેટરોને તો વિસ્તારના લોકો ઓળખતા પણ નથી. તેઓ માત્ર મોદીજીના નામ પર વોટ મેળવીને જીતી જાય છે, પણ જીત્યા પછી વિસ્તારમાં ફરતા પણ નથી. હવે જોવાનું એ રહે છે કે આ વખતે લોકો પરિવર્તન લાવે છે કે નહીં. કામ કરવાવાળા લોકો તો ઘણા છે, પરંતુ જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારના લોકોનું ભાગ્ય બદલાવાનું નથી. લોકો સુવિધાઓથી વંચિત છે અને હવે તેઓ જ નક્કી કરશે કે તેમને કેવું શાસન જોઈએ છે. રોડ, પાણી અને ગટરના કામો અમે કર્યા છે- પૂર્વ કોર્પોરેટરવોર્ડ નંબર 19ના ભાજપના પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, અમે અમારું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દીધું છે. મારા વોર્ડ નંબર 19માં અમારા સંયુક્ત પ્રયાસોથી આશરે 375 કરોડના કામો ફક્ત અમારા વોર્ડમાં જ થયા છે. રોડ, પાણી અને ગટરના કામો અમે કર્યા છે. ઘનશ્યામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાની મુખ્ય એન્ટ્રી ખૂબ સરસ બનાવવામાં આવી છે. તરસાલી વોર્ડ 19ના જંક્શનથી હાઈવે સુધીનો રસ્તો જે બાકી હતો, ત્યાં પાણી ભરાતું હોવાથી RCC રોડ બનાવીને તેની ઊંચાઈ વધારી બહુ સરસ કામગીરી કરવામાં આવી છે. ઉમા વિદ્યાલય વાળો 18 મીટરનો રસ્તો પણ શરૂ કરી દીધો છે અને સરદાર પટેલ સ્ટેચ્યુથી રવિ પાર્ક બાજુનો રસ્તો પણ મંજૂર થઈ ગયો છે જે ટૂંક સમયમાં શરૂ થશે. 'તહેવારને લીધે મજૂરો વતન ગયા હોવાથી કામ અટક્યું છે'ઘનશ્યામ પટેલે કહ્યું કે, 24 કરોડના ખર્ચે પાણી માત્ર નેટવર્ક ઊભું કર્યું છે. વડદલા રોડ પર જૂની સોસાયટીઓએ કોર્પોરેશનમાં અરજી કરીને સર્વે કરાવીને પાણીના કનેક્શન માટેના જરૂરી પૈસા ભરવાના હોય છે. મેં પોતે સોસાયટીએ સોસાયટીએ જઈને લોકોને આ પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા છે. જે લોકો પ્રોસીજર પૂર્ણ કરે છે તેમને કનેક્શન મળી જ રહ્યા છે. તેને વધુમાં કહ્યું કે, આ ઉપરાંત ઈન્દિરા નગર (Aથી E ભાગ)માં ₹1500ની યોજના હેઠળ મોટાભાગે પાણી અને ગટરના કામો પૂર્ણ કર્યા છે. ફક્ત એક જ ભાગ બાકી છે જ્યાં હોળીના તહેવારને લીધે મજૂરો વતન ગયા હોવાથી કામ અટક્યું છે. જેવી હોળી પૂરી થશે, તે કામ પણ પૂર્ણ થશે. સાંકડી ગલીઓમાં પથ્થર અને મોટા રસ્તાઓ પર કાર્પેટ સીલકોટ રોડ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:30 am

અશાંત ધારાનો ભંગ:હિન્દુ પાસેથી મુસ્લિમે ખરીદેલી મિલકતને મંજૂરી નહીં મળતા હિન્દુના નામે મંજૂરી મેળવી સાટાખત પર વેચાણ

અશાંતધારામાં સમાવિષ્ટ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે મિલકત તબદીલીની મંજૂરી નહીં મળતા હિન્દુના નામે મંજૂરી મેળવી માત્ર સાટાખતના આધારે મિલકતના વેચાણ કરતા હોવાનું ષડયંત્ર બહાર આવ્યું છ. જેમાં અશાંત ધારા હેઠળ ગુજરાત રાજ્યમાં બીજો અને ભાવનગરમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. તપાસ દરમ્યાન 5.50 લાખનો આર્થિક લાભ મેળવવા મિલકત વેચાણના કાવતરા બહાર આવ્યા હતા. જેમાં સંડોવાયેલા વધુ બે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમા આવેલ પ્લોટ નં.567/એ1, એ/2/ઈ વાળી મિલ્કત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતા આ મિલ્કતના માલીક દર્શરાજસિંહ ધર્મેંન્દ્રસિંહ ગોહીલએ અશાંતધારા વિસ્તારમાં તબદીલ હેઠળ પુર્વ મંજુરી મેળવ્યા સિવાય મિલ્કત અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને વેચી હતી. જે અંગે સીટી મામલતદાર દ્વારા ગુનો નોંધાવ્યો હતો. જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ.ઇન્સ. વી.સી.જાડેજાએ સંભાળી તપાસમાં હિન્દુની મિલકત ખરીદ વેચાણ માટે હિન્દુના નામના ઉપયોગ કરી લાખોનો લાભ મેળવતા હોવાનું બહાર આવ્યું હતું. જુનેદભાઈ હારૂનભાઇ ગનીયાણીએ આ મકાન પોતે ખરીદ કરી મુળ માલીક પાસેથી મકાન ખરીદ કરવા વેચાણ દસ્તાવેજ કરાવવા પુર્વ મંજુરી મેળવવાની અરજી નાયબ કલેક્ટરને કરી હતી. જે અરજી ના મંજુર થતા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણીએ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ સાથે મળી કાવતરૂ રચી ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલે તેના દિકરા દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલના નામે મકાન ખરીદ કરવા નાયબ કલેક્ટરની કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ કરવા પુર્વ મંજુરીની અરજી કરી હતી. જે અરજી મંજુર થતા મિલ્કતના નાણા મુળ માલીકને ચુકવવા અલારખાભાઇ કાદરભાઇ ગીગાણી પાસેથી બેન્ક ટ્રાન્ઝેકશન દ્વારા દર્શરાજસિંહના બેંક ખાતામાં અગાઉથી મેળવી લીધા હતાં. ત્યાર બાદ મુળ માલીકને તે નાણા ચુકવી આપી માર્જીનની રકમ રૂ.5.50 લાખ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ તથા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણીએ પોતે મેળવી લીધા હતાં. બાદમાં આ મિલ્કત દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પાસેથી અલરખાભાઇ કાદરભાઇ ગીગાણીએ ખરીદ કરવા નાયબ કલેક્ટરની કચેરી ખાતે પુર્વ મંજુરીની અરજી કરી હતી. જે અરજી ના મંજુર થયેલ હોવા છતા આરોપીઓએ ષડયંત્ર કરીને વેચાણ સાટાખત નોટરી પાસે કરાવી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીને કબજો સોંપી આપ્યો હતો. જેથી દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલારખાભાઇ કાદરભાઇ ગીગાણી અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો દાખલ થયો હતો. આમ, આ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓના બેન્ક ટ્રાન્ઝેકશન/મની ટ્રેઇલ જોતા આરોપીઓએ, દર્શરાજસિંહ ગોહિલના નામે મિલ્કત તબદીલ થયેલ ન હોય તે પહેલા આરોપી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીના બેન્ક ખાતામાંથી રૂ.93 લાખ ટ્રાન્સફર કરાવી મુળ માલીકને રૂ.87.50 લાખ ચુકવેલ. તેમજ રૂ.5.50 લાખ ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા જુનેદભાઈ ગનીયાણીએ આર્થીક લાભ મેળવેલ હોવાની હકિકત તપાસ દરમ્યાન FIRમાં સ્થાવર મિલ્કત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-6(ડી) તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ-61(2) મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ તપાસ દરમ્યાન ખુલવા પામેલ વધુ બે આરોપીઓ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ તથા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીએ વિવાદાસ્પદ મકાન ખાલી કરી મકાનનો કબ્જો દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલને પરત સોંપી આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:13 am

મારામારી તેમજ લૂંટનો બનાવ:સરદારનગર પ્યાલી લેવા ગયેલા યુવાન પર હુમલો, ઘડિયાળ લૂંટાઈ

શહેરના સરદારનગર વિસ્તારમાં જ્યાં નાની બોલાચાલીથી શરૂઆત થયેલો વિવાદ મારામારી અને લૂંટ સુધી પહોંચી ગયો હતો. કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના મિત્ર તથા ભાઈ સાથે સરદારનગર સર્કલ પાસે આવેલી પ્યાલીની દુકાને ગયા હતા. તે દરમિયાન ફોરવીલ કારને વળાંક લેવા લાગ્યા હતા ત્યારે સામેથી પસાર થઈ રહેલા બે શખ્સોએ ગાળો બોલતા ભગીરથસિંહ તથા તેમના ભાઈએ ગાળો શા માટે બોલો છો તેવુ કહેતા અમિત જ્યોતિકુમાર રાકેશ અને દિપક જયસ્વાલ એ અચાનક હુમલો કરીને ભગીરથસિંહ અને તેમના ભાઈને માર માર્યો હતો. હુમલામાં ભગીરથસિંહના હાથમાંથી બ્રાન્ડેડ કંપનીની અંદાજે 12,800ની કિંમતની ઘડિયાળ છીનવી લઈને બંને શખ્સો અલગ અલગ દિશામાં ફરાર થયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:12 am

જીઈસીમાં શારીરિક કસરતના મહત્વ પર વર્કશોપ:માનવીને માનસિક એકાગ્રતા અને તણાવમુક્તિ માટે કસરત અનિવાર્ય

ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ (GEC)ના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વેલબિઈન્ગ એન્ડ હેપ્પીનેસ ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે ધ પાવર ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ ઇન એવરી ડે લાઇફ (દૈનિક જીવનમાં શારીરિક કસરતની શક્તિ) વિષય પર એક વિશેષ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન ભારતસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સૈનિક જીવનના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, શિસ્તબદ્ધ જીવન અને નિયમિત કસરત એ માત્ર શરીર માટે જ નહીં, પરંતુ માનસિક એકાગ્રતા અને તણાવમુક્તિ માટે પણ અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક સમજાવ્યું કે વ્યાયામથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં પાયાનું કામ કરે છે. આ વર્કશોપમાં વક્તા દ્વારા વિદ્યાર્થીઓને સરળ વ્યાયામ, સ્ટ્રેચિંગ અને શ્વાસવ્યાયામનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યસ્ત શૈક્ષણિક સમયપત્રક વચ્ચે પણ સ્વાસ્થ્ય માટે સમય કેવી રીતે ફાળવવો તેનું પ્રેરણાદાયી શિક્ષણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:12 am

મેથ્સ અને ફિઝિક્સ- કેમેસ્ટ્રીમાં 3 માર્ક તમામને મળશે:ગુજકેટમાં આન્સર કી જાહેર થતા વિદ્યાર્થીઓને ચાર માર્ક મળી ગયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટની આન્સર કી જાહેર કરવામાં આવી છે તેમાં ગણિતની આન્સર કી માં એક પ્રશ્નમાં તમામ જવાબો અને અન્ય એક પ્રશ્નમાં ચાર પૈકી બે વિકલ્પો સાચા છે. એટલે કે વિદ્યાર્થીને એક માર્ક અત્યારથી જ મળી ગયો છે ‌ જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં બે પ્રશ્નોમાં તમામ વિકલ્પ સાચા છે. એટલે કે વિદ્યાર્થીઓને બે માર્ક અત્યારથી જ મળી ગયા છે. બાયોલોજીમાં ગુજરાતી અને હિન્દી માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા છે જ્યારે અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ અને એક પ્રશ્નમાં તમામ વિકલ્પો સાચા છે એટલે કે માત્ર અંગ્રેજી માધ્યમમાં જે પ્રશ્નમાં તમામ વિકલ્પ સાચા છે તેને એક માર્ક મળી ગયો છે. એટલે કે કુલ ચાર માર્ક અત્યારથી જ મળી ગયા છે જેમાં 3 માર્ક તમામ માધ્યમમાં જ્યારે બાયોલોજીમાં 1 માર્ક માત્ર અંગ્રેજી માધ્યમના પરીક્ષાર્થીઓને મળી ગયો છે. પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે આ આન્સર કી અંગે વિદ્યાર્થીઓને કોઈ રજૂઆત હોય તો વિષય વાર માધ્યમ વાર પ્રશ્ન દીઠ અલગ અલગ ફોર્મ ભરી ઈમેલ આઇડી gujcetkey,@gmail.com પર તારીખ 8 એપ્રિલને બુધવાર સાંજે 6:00 વાગ્યા સુધી જરૂરી આધાર સાથે મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ અને જરૂરી આધારો સિવાય મળેલી રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે. આન્સર કી ની રજૂઆત ફક્ત ઇ-મેલ દ્વારા સ્વીકારવામાં આવશે અને પ્રશ્ન દીઠ રૂપિયા 500 ફી રહેશે. પ્રશ્નની રજૂઆત કરી હોય અને તે સાચી ઠરશે તો ઉમેદવારને ભરેલી ફી પરત કરાશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:11 am

ઘરની બહાર નીકળતાં જ ગંદા પાણીમાં પગ મૂકવા મજબૂર:પાયકવાડમાં 20 વર્ષથી ડ્રેનેજની સમસ્યા, મચ્છરોને રોગચાળાથી ​સ્થાનિકોમાં આક્રોશ; ચૂંટણી બહિષ્કારની ચીમકી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પાયકવાડ વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળતી વખતે દર વખતે ગંદા પાણીમાં પગ મૂકવો પડે છે. 'ગટરના ગંદા પાણી ઉંબરા સુધી આવી ગયા'દિવ્ય ભાસ્કરની ટીમે સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 9(રાંદેર-જહાંગીરાબાદ-પાલનપુર) સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. પાયકવાડ વિસ્તારના સ્થાનિકો જણાવે છે કે, ગટરના ગંદા પાણી તેમના ઉંબરા સુધી આવી ગયા છે. આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અહીં છેલ્લા 15થી 20 વર્ષથી ડ્રેનેજની ગંભીર સમસ્યા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને ફરિયાદો પાછી ફરે છે. 'ડ્રેનેજ લાઈનનો 15થી 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે'સ્થાનિક મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઈનનો 15થી 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે, આનો કોઈ જાતનો નિકાલ આવતો નથી. આ મેઈન રોડ છે, અહીં બધા સમાજના કાર્યકર્તાઓ પણ જાય છે અને જોવે છે પણ જોતા જતાં કોઈ એક્શન નથી લેતા. 15 વર્ષથી બધા હેરાન અને પરેશાન છે. મોહમ્મદ આસિફે જણાવ્યું કે, અમારા અહીં કોર્પોરેટર રાજનભાઈ છે અને શૈલેષ, કુણાલ સેલર છે એ બધા જોવે છે. આ મંદિર પણ આપણું બહુ જૂનું પુરાણું છે, અહીંથી આવતા-જતાં બધા જોવે છે એવું નથી કે નથી જોતા. બધા કોર્પોરેટર પણ જોવે છે બધા આગેવાનો પણ જોવે છે પણ કોઈ જાતનું એક્શન લેતા નથી. પીવાનું પાણી ગંદુ, લોકો દરરોજ પાણી ખરીદવા મજબૂરસ્થાનિક રુકસાનાબાનુંએ જણાવ્યું હતું કે, આ બધું ગટરનું એકલું નાપાક જ પાણી જાય છે, એમાં નાના નાના બચ્ચા બીમાર પડે છે. અને રોજનું એક બિસલેરી પાણી લાવી અમે પીએ છે. ગરીબ માણસ ક્યાંથી રોજનું પાણી લાવીને પીવાનું? પીવાનું પાણી પણ એટલું ગંદુ આવે છે, એવી પ્રોબ્લેમ છે. આ કેટલા વર્ષોથી પ્રોબ્લેમ છે. ક્યાં સુધી અમે આ સહન કરીએ? કેટલું બધું સહન કરીએ છીએ અમે! અમારા બચ્ચા બિચારા કૂદી કૂદીને જાય છે પછી આવીને તરત નવડાવવા પડે છે. 'પીવાનું પાણી ખરાબ આવે છે, કોઈ તપાસ કરવા નથી આવતા'સ્થાનિક શબ્બીર મહારાજે જણાવ્યું હતું કે, આ સમસ્યા માટે કોર્પોરેશનમાં વારંવાર અમે અરજીઓ કરી છે, પણ કોઈ આવતું નથી અને આવે છે તો જોઈ-જોઈને ચાલ્યા જાય છે. હમણાં છેલ્લા મોદી સાહેબ કરીને કોઈ આવેલા, તે કહે અમે પાંચ-છ દિવસમાં આવીએ છીએ પણ કોઈ આવતું નથી ને કંઈ કરતું નથી. રોજનું પીવાનું પાણી ખરાબ આવે છે. કોઈ તપાસ કરવા પણ નથી આવતા. અને અહીંયા શંકર ભગવાન મંદિર બાજુ જવાવાળા લોકો પણ આ ગટરના પાણીમાંથી જાય છે. એ લોકો પણ જોયા કરે પણ કોઈ બોલતું નથી. 'આ લોકો કામ નથી કરતા, ફક્ત વેરો ઉઘરાવે છે'શબ્બીર મહારાજે કહ્યું, આગામી સમયમાં ચૂંટણી આવે છે એના બાબતમાં એવું છે કે વોટ તો અમે બહિષ્કાર કરવાના જ છે, કેમકે આ લોકો કામ નથી કરતા. વેરો ઉઘરાવે છે, વેરો નહીં હોય તો 18 ટકા વ્યાજે આપણી પાસેથી પૈસા લે છે એ પણ આ લોકો કંઈ કરતા નથી. શબ્બીર મહારાજે વધુમાં જણાવ્યું કે, કોર્પોરેટરો અહીં ભગવાનના મંદિરમાં જાય છે એ લોકો પણ કહી કહીને થાક્યા પણ કોઈ કામ કરતું નથી. એમની નિયત જ નથી કામ કરવાની નથી ખાલી વેરો ઉઘરાવવો છે. તો આની કોઈ સમસ્યાનો ઉકેલ લાવે. નહીં તો પછી અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કમિશનર પાસે જઈશું. 'અમે પથ્થર મૂકીને કોઈ દિવસ કામ ચલાવીએ છીએ'સ્થાનિક સમીર મલિકે જણાવ્યું હતું કે, લગભગ 15-20 વર્ષથી આ તકલીફ એટલી ચાલે છે કે અમને રોજની તકલીફ પડે છે. છોકરાઓ માંદા પડે છે. ત્રણ વખત મારા છોકરાને હું હોસ્પિટલ લઈ ગયો છું. મારી પાસે રિપોર્ટ છે, તમે કહેતા હોવ તો રિપોર્ટ બતાવું. આમાં એટલી ગંદકી થાય છે, અહીંથી આવતા-જતા પાણીની તકલીફ પડે છે. સાહેબ પણ આવે છે અને કહે છે કે કરશું કરશું પણ આ કામ થતું નથી. બે દિવસ કોઈ માણસ આવે, કરાવીને જાય, એક દિવસ બંધ થાય અને બીજા દિવસે સાંજથી પાછું પાણી ચાલુ થઈ જાય. ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ​લોકોમાં હવે આક્રોશ ફાટી નીકળ્યો છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો ચૂંટણી પહેલા આ ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. અમે કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને અમારા વિસ્તારમાં પ્રવેશવા દઈશું નહીં અને મત પણ આપીશું નહીં. ગંદકીથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા​સ્થાનિકોનો સવાલ છે કે જો 20 વર્ષમાં એક ડ્રેનેજ લાઈન સરખી ન થઈ શકતી હોય, તો મત આપવાનો શો અર્થ? જ્યારે નેતાઓ મતોની ઝોળી ફેલાવીને આવશે, ત્યારે જનતા તેમને આ ગંદકી અને 20 વર્ષના અન્યાયનો જવાબ માંગશે તે નક્કી છે. વોર્ડ નંબર 9ની આ સ્થિતિ આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ માટે મોટી મુસીબત ઊભી કરી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:00 am

'મહંત ચરિતમ' શ્રેણી પર કથા યોજાઈ:આજનાં સમયમાં કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત આવશ્યક : મહંત સ્વામી મહારાજ

ભાવનગર : 'અક્ષરવાડીમાં અક્ષરબ્રહ્મનાં ઓવરણા' એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજની અક્ષરવાડીમાં પધારમણી અને ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ ઉપક્રમે આજે સવારે પ્રાતઃપૂજા બાદ પૂજ્ય મહંત સ્વામિ મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે આજનાં સમયમાં કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત જરૂરી છે. ચલાવી લેવું, જતું કરવું, માફ કરી દેવું, જેવાં અનેક પાસા છે જેથી પરિવારમાં શાંતિ જળવાય રહે અને એ જ્યારે ઘરમાં ધર્મ હોય ત્યારે જ શક્ય બને છે. સવારની પારાયણ દરમ્યાન પૂજ્ય આદર્શજીવન સ્વામીએ 'મહંત ચરિતમ' શ્રેણી પર અદભુત કથાનો લાભ આપ્યો હતો. સાંજની સભામાં ગુરુભક્તિ અર્ધ્યમ અંતર્ગત તપ, ઉપવાસ, વિશેષ નિયમ લેનાર બાળકો, યુવાનો, વડીલ હરિભક્તોને બિરદાવતો અદભુત કાર્યક્રમ ઉપરાંત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા અને અંતમાં ભાવિક ભક્તોની વિશાળ ઉપસ્થિતિને પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજે દર્શન આશીર્વાદ આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:55 am

CPM પણ લડશે ચૂંટણી:કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીમાં CPM ઝંપલાવશે

ભાવનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયત પાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યાં આજે નવું રાજકીય સમીકરણ બહાર આવ્યું છે. સીપીએમ દ્વારા પણ ચૂંટણી લડવા મન મક્કમ કરી લેવાયું છે. ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદીની ભાવનગર જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાવનગર શહેર ઉપરાંત પાલીતાણા, સિહોર અને ઘોઘા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ જિલ્લા સમિતિની બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકા, પાલીતાણા નગરપાલિકા તથા કેટલીક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો લડવા માટેનો નિર્ણય કરાયો હતો. સીપીઆઈએમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવા માટે ઉમેદવારો ઊભા રાખશે. સીપીએમ પોતાની ઉમેદવારો 8મી એપ્રિલે નક્કી કરશે તથા 9મી એપ્રિલે તેની જાહેરાત કરવામાં આવશે. ભાજપના નિરીક્ષકો ગયા, લોબિંગ શરૂઆગામી ચૂંટણીઓ માટે પ્રદેશ કક્ષાએથી ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુકોના સેલ્સ લેવામાં આવ્યા હતા. નિરીક્ષકો દાવેદારોને સાંભળી ચાલ્યા ગયા પરંતુ હવે દાવેદારો દ્વારા પોતાના ગોડફાધરો થકી લોબિંગ શરૂ કરવામાં આવ્યું હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સંઘ અને જુના જોગીઓને પણ મળી પ્રદેશ કક્ષાએ ઉમેદવારોની પસંદગીમાં દબાણ માટે સતત પ્રયાસો શરૂ થયા છે. આવી પરિસ્થિતિમાં સારા કરતાં મારાને પ્રાધાન્ય મળવાના પણ ચાન્સ વધી જાય છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:55 am

સન્ડે ફોટો સ્ટોરી:નીતિમાં ખોટ : તસવીર બે, બેદરકારી એકસમાન

યુનિ.ના વહીવટી ભવનના પ્રવેશદ્વારે નબળાં કામનું પ્રતિબિંબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને મળતી વિકાસ કામોની વિવિધ ગ્રાન્ટોમાંથી તાજેતરમાં ડામર રોડ સહિતના કામો કરવામાં આવ્યા છે. જોકે કોઈપણ જાતના નક્કર આયોજન વિના કરાતા કામોની ખામીઓ ઉડીને આંખે વળગી રહી છે. ભાવનગર શહેરમાં ગઈકાલે શુક્રવારે સાંજે વરસેલા કમોસમી વરસાદથી યુનિવર્સિટીના વહીવટી ભવનના પ્રવેશદ્વારે ભરાયેલું પાણીનું ખાબોચીયું શનિવારે પણ યથાવત છે. ખાબોચીયામાં ભરેલા પાણીમાં ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં થયેલા નબળાં કામનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. રાજ્યપાલ માટે રિપેર કરેલા રોડમાં 6 દિવસમાં ભૂવો પડ્યો ભાવનગર કોર્પોરેશન પર અવારનવાર રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થતા રહ્યા છે. સાધારણ સભામાં પણ વિરોધ પક્ષ પણ રોડમાં બેદરકારી સામે સવાલો ઉઠાવતો રહ્યો હતો. પરંતુ તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગી છે. ભાવનગર ખાતે કાર્યક્રમમાં રાજ્યપાલ આવવાના હોવાથી એરપોર્ટ રોડ પર મુની દેરી ચોક સહિતના રસ્તા હજુ 6 દિવસ પૂર્વે રિપેર કરાયા હતા. ત્યાં તે રોડ પર ભૂવો પડ્યો છે. રસ્તામાં પડેલા ભૂવાને કારણે વાહન અકસ્માત થવાની પણ ભીતિ છે. છતાં ભૂવા ફરતે સલામતીના ભાગ રૂપે કોઈ આડશ સુધ્ધા મુકવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:54 am

આચારસંહિતાની કડક અમલવારી:જિલ્લામાં આચારસંહિતાનો અમલ 363 બેનર અને પોસ્ટર હટાવાયા

ભાવનગર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતાની પણ વહીવટી તંત્ર દ્વારા અમલવારી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેર તેમજ ખાનગી મિલકતો પરથી મતદારોને આકર્ષિત કરતી રાજકીય સહિતના પોસ્ટર, બેનર અને લખાણો 363 જેટલા દૂર કરવામાં આવ્યા છે. આચારસંહિતા અમલમાં આવી હતી. આચાર સહિતા અમલીકરણ માટે ROને જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. સામાન્ય રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેશનના અધિકારીઓને કે કર્મચારીઓને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવતી નથી. તેમ છતાં તંત્ર દ્વારા ઓર્ડર કર્યા હતા તેમાં ફેરફારના હુકમો પણ થયા છે. ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ મુજબ પોત પોતાના વિસ્તારોમાંથી મતદારોને આકર્ષિત કરતા રાજકીય બોર્ડ બેનર, પોસ્ટર અને લખાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં હજુ પણ આચાર સંહિતાનું સંપૂર્ણપણે પાલન ન થતું હોય તેમ હજુ પણ અનેક જાહેર અને ખાનગી મિલકતો પર રાજકીય આગેવાનોના ફોટા સહિતના બેનરો અને પોસ્ટરો લાગેલા છે. વિકાસ કામોની જાહેરાતો દ્વારા પણ મતદારોને લોભાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મિલકત ધારાના ભંગ હેઠળ જાહેર મિલકતોમાં ભાવનગર મહાનગરપાલિકાના 31 સહિત કુલ 280 કિસ્સાઓ નોંધાયા હતા. જે પૈકી 278 નો નિકાલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ખાનગી મિલકતોમાં પણ કોર્પોરેશન વિસ્તારમાં 14 જેટલા કિસ્સાઓ સહિત કુલ 85 નોંધાયા હતા અને તમામને દૂર કરવામાં આવ્યા છે. ફેક્ટ ફાઈલ

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:52 am

સૂરીલી સાંજની યશ કલગીમાં નવું છોગું ઉમેરાયું:સૌથી લાંબો સમય ચાલનારા બિન આર્થિક સંગીતના કાર્યક્રમમાં સૂરીલી સાંજનો રેકોર્ડ

સૌથી લાંબો સમય ચાલનાર બિન આર્થિક લાઈવ સાંગિતીક કાર્યક્રમ તરીકે સૂરીલી સાંજે બનાવ્યો રેકોર્ડ છે. લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પછી સૂરીલી સાંજની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક છોગું ઉમેરાયું છે. 28 વર્ષથી દર મહિનાના પહેલા રવિવારે ચાલતી નિસ્વાર્થ - નિજાનંદની ઓળખ સમી સૂરીલી સાંજ સાંગિતિક પ્રવૃત્તિને રાજેશભાઈ અને માધુરીબેન વૈષ્ણવની હયાતીમાં લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. હવે જ્યારે આ પરંપરા હિરેનભાઇ સુપેરે નિભાવી રહયા છે ત્યારે આ સૂરીલી સાંજને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. લોંગેસ્ટ રનિંગ નોન કમર્શિયલ લાઇવ મ્યુઝિકલ પ્રોગ્રામ કેટેગરી હેઠળ બહુમાન મેળવનાર આ એકમાત્ર સંસ્થા છે. 335માં કાર્યક્રમ માટે આ ઉપલબ્ધિ મળી છે ત્યારે 5 એપ્રિલને રવિવારે બાલ પમરાટ રંગમંચ- દક્ષિણામૂર્તિ ખાતે નિયત સમયે યોજાનારા સૂરીલી સાંજના કાર્યક્રમમાં આ સર્ટિફિકેટ આપવામાં આવશે. રાજેશભાઈ વૈષ્ણવે શરૂ કરેલી સંગીતની સફરકલા અને સાંસ્કૃતિક નગરી ભાવનગરની કેટલીક આગવી ઓળખ છે અને આ પૈકીની એક એટલે સૂરીલી સાંજ. માત્ર કલાકારે જ નહીં પરંતુ ખરા અર્થમાં કલા સાધક એવા રાજેશભાઈ વૈષ્ણવે શરૂ કરેલી આ પરંપરા આજે પણ તેમના પુત્ર હિરેન વૈષ્ણવના નેતૃત્વમાં અવિરત ચાલી રહી છે એટલું જ નહીં તેની યશ કલગીમાં પણ ઉમેરો થતો રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:50 am

ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશનનું સરાહનીય કાર્ય:સિવિલ માટે રત્ન કલાકારોનું 1000 બોટલ રક્તદાન

ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે હોસ્પિટલોની બ્લડ બેન્કમાં પણ લોહીની અછત ઊભી થતી હોય છે ભાવનગરની સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે બ્લડની આવશ્યકતા હોવાની અપીલ કરતા ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશને તે અપીલને મક્કમપણે નિર્ધાર કરી પડકારરૂપ ઉઠાવી લીધી હતી. અને યોજેલા મહારક્તદાન કેમ્પમાં 1000 થી પણ વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સર ટી.હોસ્પિટલમાં દર્દીઓ માટે રક્તની અતિ આવશ્યકતા હોવાથી ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા હીરાના કારખાનાઓમાં જઈ બેઠકો કરી રત્ન કલાકારો સહિતનાને દર્દીઓને લોહીની આવશ્યકતા સંદર્ભે સર ટી. હોસ્પિટલનો સંદેશો પહોંચાડ્યો હતો. રત્ન કલાકારોએ પણ ટહેલને સહર્ષ સ્વીકારી તાત્કાલિક આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. શહેરના વરણી સ્ટાર અને મારુતિ ડીએમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રત્ન કલાકારોએ પોતપોતાની સમયની અનુકૂળતા મુજબ કારખાનાઓ પર કામે પણ ગયા હતા અને અન્ય સમયમાં રક્તદાન કરવા પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. સવારથી શરૂ થયેલ રક્તદાન કેમ્પ મોડી સાંજ સુધી શરૂ રહ્યો હતો. હીરાના કારખાનાઓમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા રત્ન કલાકારો રક્તદાન કરી શકે તેની પણ સુવિધા ઉભી કરવામાં આવી હતી. સર ટી. હોસ્પિટલમાં દર્દીઓ માટે તાત્કાલિક બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા આયોજિત કરેલા રક્તદાન કેમ્પને મોટી સફળતા મળી હતી. સમાજસેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ આ કેમ્પમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા યુવાનો દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ સમાજસેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે મહા રક્તદાન કેમ્પમાં 1000 થી પણ વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આતુર હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, થોડું રક્ત, કોઈના જીવન માટે નવી આશા બની શકે. એક બોટલ રક્ત કોઈ દર્દી માટે નવજીવન સમાન બની શકે છે. અનેક પરિવારોમાં ફરી સ્મિત પરત લાવી શકે છે. આ કાર્યક્રમનું સફળ આયોજન ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને અન્ય રાજકીય સામાજિક અગ્રણી આગેવાનોએ પણ મુલાકાત લીધી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:49 am

પોલીસ બેડામાં બદલી:ભાવનગર એસઓજી પીઆઈ સુનેસરાની સાયબરમાં બદલી

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 500થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરની સામૂહિક બદલીના નિર્ણય બાદ ભાવનગર જિલ્લામાં પણ નવા પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારીઓની નિમણૂકો કરવામાં આવી છે. જેના અનુસંધાને ભાવનગર એસ.પી નિતેશ પાંડેય દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઇન્સ્પેક્ટરોને મૌખિક રીતે ચાર્જ સોંપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, તેમજ પીઆઇ ડી.યુ. સુનેસરાની આંતરિક બદલી પણ કરવામાં આવી છે. સાત પી આઇ ની નિમણૂકો કરાઈ છે જેમાં કે.એ. ગઢવીને દાઠા પોલીસ સ્ટેશન, જે.જી. મોડને ઉમરાળા પોલીસ સ્ટેશન, આર.બી. ચૌહાણને ગારિયાધાર પોલીસ સ્ટેશન, જે.આર. દેસાઈને સોનગઢ પોલીસ સ્ટેશન, એચ. કે સોલંકીને મહુવા પોલીસ સ્ટેશન, એમ.એમ. સરવૈયાને વલભીપુર પોલીસ સ્ટેશન, કે.કે. રાઠોડને બગદાણા પોલીસ સ્ટેશન તેમજ ડી.યુ. સુનેસરાને SOG માંથી સાયબર સેલમાં ફરજનો ચાર્જ મૌખિક રીતે સોંપવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મૌખિક નિમણૂકોને કારણે પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ જામ્યો છે, કારણ કે સત્તાવાર આદેશોની રાહ જોવાઈ રહી હતી. જોકે હજી સુધી આ અંગે અધિકૃત પુષ્ટિ બહાર આવી નથી. શહેર જિલ્લામાં હજુ પણ ઇન્ચાર્જ અધિકારીઓથી પોલીસ મથકનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે તેવા પોલીસ મથકોમાં પણ કાયમી પી આઈની નિમણુંક થાય તેવી શક્યતાઓ રહેલી છે. તેમજ એસઓજીના પીઆઈ સુનેસરાની અચાનક સિંગલ મૌખિક ઓર્ડરથી બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ઉતેજના ફેલાઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:47 am

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર:શહેરમાં આજથી વાતાવરણ ચોખ્ખું થતા બપોરે તાપમાનમાં વધારો થશે

ભાવનગર શહેરમાં ગઇ કાલ શુક્રવારે બપોર બાદ પોણો ઇંચ કમોસમી વરસાદ વરસી ગયા બાદ ગરમીનો પ્રભાવ ઘટી ગયો છે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ) અને લોકલ કન્વેક્ટિવ એક્ટિવિટીને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ભાવનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી માવઠા વરસ્યા બાદ આજે બપોરે મહત્તમ તાપમાન એકાએક 4.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ગઇ જતા ગરમીમાં નગરજનોએ રાહતનો અનુભવ કર્યો હતો. સાંજના સમયે શહેરમાં 18 કિલોમીટરની ઝડપે પવનના સૂસવાટા ફૂંકાતા આહલાદક વાતાવરણ રહ્યું હતુ. હવે આવતી કાલ રવિવારથી ભાવનગરમાં વાતાવરણ ચોખ્ખું થતા બપોરના સમયે તાપમાન વધતા ગરમીમાં પણ વધારો થશે. ગઇ કાલે મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ પણ બપોર બાદ ટાઢા પવન સાથે માવઠું વરસતા આજે એક જ દિવસમાં મહત્તમ તાપમાન 4.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 23.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. સવારે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા હતુ તે સાંજના સમયે પણ 54 ટકા નોંધાયુ હતુ. સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજના સમયે વધીને 18 કિલોમીટર થઇ ગઇ હતી. બપોરે સામાન્ય કરતા 5.7 ડિગ્રી ઓછું તાપમાનઆજે બપોરે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ આ સમયગાળામાં શહેરમાં બપોરે જે તાપમાન હોવું જોઇએ તેનાથી આજે તાપમાન 5.7 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું નોંધાતા ગરમી આજે બપોરે પરચો દેખાડી શકી ન હતી. ભાવનગર શહેરમાં ગઈકાલે સામાન્ય તાપમાન રહ્યું હતુ પણ સાંજે માવઠું વરસ્યા બાદ પવન ઠંડો થયો હતો અને તેની અસરથી આજે બપોરે તાપમાન ઘટ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:46 am

વ્યાજના વિષચક્રમાં ફસાયો વેપારી:અઢી કરોડ વ્યાજ આપ્યા છતાં વ્યાજખોરે ત્રાસ આપતા વેપારીનો આપઘાતનો પ્રયાસ

90 લાખ સામે અઢી કરોડ વ્યાજ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા અડાજણ પાટીયાના કાપડ વેપારીએ સલાબતપુરાની દરગાહ પાસે ઝેર પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. અડાજણ પાટીયા એટલાસ ખાતે રહેતા કાપડ વેપારી 48 વર્ષીય અલ્તાફ અશરફ ઓરાવાલાએ સલાબતપુરા દરગાહ પાસે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના મિત્રને તેમને સિવિલ લઈ જવાતા દાખલ કરાયા છે. અલ્તાફભાઈના પુત્ર અબરારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમના પિતાએ જુનેદ યુનુસ ઓરાવાલા પાસેથી તેમના ભાઈને ધંધા માટે 90 લાખ વ્યાજે અપાવ્યા હતા. અઢી કરોડ વ્યાજ ચૂકવ્યા હતા. મિલકતો વેચીને પણ વ્યાજ ચૂકવ્યા છતાં જુનેદ દ્વારા તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરાતી હતી. ‘જુનેદના ત્રાસથી કંટાળી આ પગલું ભરી રહ્યો છું’અલ્તાફભાઈએ આપઘાતનો પ્રયાસ કરવા પહેલા 3 પાનાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારાથી એક ભૂલ થઈ કે મેં મારા ભાઈ અને તેના પાર્ટનરને જુનેદ પાસેથી રૂપિયા અપાવ્યા. જુનેદ દ્વારા ઉઘરાણી અને સોસાયટીમાં આવીને ધમકી અપાતા તેઓ આ પગલું ભરી રહ્યા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:42 am

લિંબાયતની એક્સિસ બેંકમાં મોડી રાતનો બનાવ:ATMને તોડવા જતા રૂપિયાની ચેમ્બર ન ખુલી, ચોર ભાગી ગયો

લિંબાયતના ભગવતીનગર ખાતે આવેલી એક્સિસ બેંકના એટીએમ મશીનને ચોરે નિશાન બનાવી હતી. ચોરે આ એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે, મશીન નહીં ખુલતા તે નાસી ગયો હતો. જોકે આ ઘટનામાં મશીનને 3 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડાયની ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશને બેંકના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. એટીએમ તોડવાના પ્રયાસની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લિંબાયત ભગવતીનગર સ્થિત મમતા ટોકિઝ પાસે એક્સિસ બેંકનું એટીએમ આવેલું છે. તા.30મી માર્ચના રોજ મોડી રાત્રે 2.35 વાગ્યાના અરસામાં બ્લુ કલરનું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેલો ચોર આ‌વ્યો હતો. ચોરે પોતાની સાથે લાવેલા સાઘનોથી મશીનને તોડવાનું શરૂ કર્યુ હતું. તેણે મશીનની સ્ક્રિન, પ્રિન્ટર, કાર્ડ રીડર, પી.પી.ટી તથા શર્ટર એસેમ્બલી, લોવર ગુજ અને એસ એન્ડ જી લોક તોડી નાખ્યું હતું. પરંતું રુપિયા મૂકવાની ચેમ્બર ખુલી ન હતી. અડધો કલાકથી વધુ સમય સુધી પ્રયાસ કરવા છતા એટીએમ નહીં તુટતા આખરે તે ચાલી ગયો હતો. બનાવ અંગે એટીએમ સર્વિસના કર્મચારી પ્રદિપ અમરીશભાઇ મકવાણા (રહે,સિદ્ધેશ્વર હેવીટેડ ઉમા વિદ્યાલય પાસે વડોદરા) એ લિંબાચત પોલીસમાં ચોરે મશીનને રૂ.3 લાખનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:39 am

દક્ષિણ ગુજરાતની કોલેજો 5 આંગણવાડી દત્તક લેશે:કોલેજીયનો આંગણવાડીમાં ભૂલકાઓને ઘરની વસ્તુથી ભણાવી શિક્ષણના પાયો મજબૂત કરશે

શિક્ષણ મંત્રાલય અને UGCના આદેશ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આંગણવાડી દત્તક લેવાની તૈયારી શરૂ કરી છે. યુનિવર્સિટીએ દક્ષિણ ગુજરાતની કોલેજો પાસે તેમના વિસ્તારમાં આવતી પાંચ-પાંચ આંગણવાડીઓની વિગતો મંગાવી છે. આ ડેટાથી ટૂંક સમયમાં યોજનાનું અમલીકરણ માળખું બનશે. B.Ed, MSW, હોમ સાયન્સ અને મનોવિજ્ઞાન સાથે J.M.C.ના વિદ્યાર્થીઓ માટે પણ આંગણવાડીમાં ફિલ્ડવર્ક-ઇન્ટર્નશિપ મુકાશે. વિદ્યાર્થીઓ 3થી 6 વર્ષ સુધીના આંગણવાડીના ભૂલકાઓને ઘરની ચીજ-વસ્તુઓથી પ્લે-વે પદ્ધતિ દ્વારા શિક્ષણ આપશે. વિદ્યાર્થીઓને આ ફાયદો શિક્ષણ ગુણવત્તા સુધરશેકોલેજો પાસેથી આંગણવાડીઓની વિગતો મંગાવાઈ છે. જે આવ્યા બાદ પોલીસી બનાવાશે, શિક્ષણની ગુણવત્તા સુધરશે અને વિદ્યાર્થીઓને ફિલ્ડવર્કનો અનુભવ મળશે. > ડો. આર. સી. ગઢવી, કુલસચિવ, VNSGU બાળક વિકાસ માટે જરૂરીUGCના પત્ર બાદ તૈયારી શરૂ કરી છે. વિવિધ કોર્સના વિદ્યાર્થીઓથી આંગણવાડીના બાળકોને પાયાનું શિક્ષણ અને પોષણ મળશે, જે તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. > ડો. કે. એન. ચાવડા, કુલપતિ, VNSGU આ મેથડથી ભણાવવાશેઆંગણવાડીમાં ફિલ્ડવર્ક કરનારા વિદ્યાર્થીઓને પ્રોફેસરો ટ્રેનિંગ આપશે. જેમાં પરંપરાગત ગોખણપટ્ટીને બદલે ફળ, શાકભાજી અને રમકડાં દ્વારા અક્ષરજ્ઞાન અને ગણિતના પાયાના ખ્યાલો સમજાવવામાં આવશે. બાળકોને લાંબા સમય સુધી યાદ રહે તે માટે મલ્ટી-સેન્સરી લર્નિંગ (જોઈને, સાંભળીને અને સ્પર્શ કરીને શીખવાની પદ્ધતિ) તેમજ વાર્તા અને ગીત-સંગીતનો ઉપયોગ કરાશે. એનિમેટેડ વાર્તાઓ અને કલરફુલ ચાર્ટ્સ દ્વારા બાળકોની એકાગ્રતા વધારવા પ્રયાસ થશે. કોલેજીયનો દર અઠવાડિયે બાળકોના બૌદ્ધિક વિકાસનું મૂલ્યાંકન કરી રિપોર્ટ તૈયાર કરશે, જ્યારે હોમ સાયન્સના વિદ્યાર્થીઓ બાળકોના ડાયટ ચાર્ટ અને પર્સનલ હાઈજીન પર ધ્યાન આપશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:37 am

CMAI દ્વારા મુંબઈમાં યોજાયો ફેબ્રિક શો:CMAIના ફેબ્રિક શોમાં સુરતના 65 કાપડ ઉત્પાદકોએ ભાગ લીધો

સુરત ક્લોથિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા એસએમએઆઈ દ્વારા મુંબઈના નેસકોમાં સસ્ટેનેબિલિટી થીમ સાથે ફેબશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના 65થી વધુ કાપડ ઉત્પાદકોએ ભાગ લીધો હતો. આ ફેબશોમાં દેશ-વિદેશના 255 જાણીતા એક્ઝિબ્યુટર્સે ભાગ લીધો હતો. આ એક્ઝિબીશનમાં અંદાજીત 2700 કરોડનો બિઝનેસ જનરેટ થવાની સંભાવાન છે. સીએમએઆઈ ગુજરાત રિઝન પ્રેસિડેન્ટ અજોય ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, ‘આ વખતે ફેબશોનું મુખ્ય આકર્ષણ તેની સસ્ટેનેબિલિટી થીમ હતું, જે વર્તમાન સમયમાં ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. પર્યાવરણને અનુકૂળ ફેબ્રિક, રિસાયકલ મટીરિયલ્સ અને એનર્જી-એફિશિયન્ટ ઉત્પાદન પ્રક્રિયાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સુરતના સ્ટોલ્સ પર નોંધપાત્ર ભીડ જોવા મળી હતી, જે દર્શાવે છે કે માર્કેટમાં સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ્સ માટે મજબૂત માંગ છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:35 am

31 વર્ષમાં પહેલી વખત વરાછા બેન્કમાં ચૂંટણી:ડેટા પ્રોડેક્શન એક્ટના લીધે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર ન અપાયા

વરાછા કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આ વર્ષે વિધાનસભા અને લોકસભા ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે. બેંકના બોર્ડની કુલ 15 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં સત્તાધારી પેનલના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમાં 2 મહિલા અને 1 એસસી-એસટી ઉમેદવારનો સમાવેશ થાય છે. હવે બાકી રહેલી 12 બેઠકો માટે 5મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. સત્તાધારી પેનલના 12 ઉમેદવારો અને અન્ય પેનલમાં 5 ઉમેદવારો મેદાનમાં છે. જો કે, 7 ઉમેદવારો હતા જેમાંથી 2 ઉમેદવારોએ સત્તાધારી પેનલને ટેકો જાહેર કર્યો છે. આ ચૂંટણીમાં કુલ અંદાજે 53,300 સભાસદો મતદાન કરી શકશે. ડેટા પ્રોટેક્શન એક્ટ હોવાથી સભાસદોના કોન્ટેક્ટ નંબર તેમને આપવામાં આવ્યા ન હતાં. છતાં ચૂંટણી લડતી પેનલોએ મતદારો સુધી પહોંચવા માટે અલગ-અલગ રીતો અપનાવી હતી. આ માટે અંદાજે 200 જેટલા કાર્યકરોને કામે લગાડવામાં આવ્યા હતા અને વિવિધ પદ્ધતિઓ દ્વારા અંદાજે 25 હજાર મતદારો સુધી સંપર્ક સાધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 25 હજાર મતદારોનો સંપર્ક કર્યો સહકાર પેનલ સામે અન્ય ઉમેદવારો

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:33 am

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર:દિવસભર વાદળછાયું વાતાવરણ, આજે હળવા વરસાદની શક્યતા

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૂર્યનારાયણ અને વાદળો વચ્ચેની સંતાકૂકડીને કારણે બપોરે ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 32 C અને લઘુત્તમ તાપમાન 25 C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી શહેરીજનોએ બફારો અનુભવ્યો હતો. રવિવારે શહેર અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 25થી 30 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન 32C ની આસપાસ સ્થિર રહેશે. સપ્તાહના અંતે ગરમીનો પારો વધશેસોમવારથી ગુરુવાર સુધી તાપમાન 31 C થી 32 Cની વચ્ચે રહેશે, જેથી ગરમીમાં કોઈ મોટો વધારો જોવા નહીં મળે. જોકે, શુક્રવારથી પારો ઉંચકાવાની શરૂઆત થશે અને તાપમાન 35C સુધી પહોંચી શકે છે, કાળઝાળ ગરમી પડશે. 25થી 30 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન 32C ની આસપાસ સ્થિર રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:31 am

GSTની એડવાઇઝરીથી વેપારીઓને મોટી રાહત:અપીલ માટે હવે વધારાના દસ ટકા હવે ભરવા નહીં પડે

જે વેપારીઓને એસેસમેન્ટ ઓર્ડર સામે અપીલમાં જવા માગતા હતા તેઓને ડીઆરસી-03માં ટેકસની ભરપાઈ કરી હોવા છતાં અપીલમાં જવા માટે વધારાના દસ ટકા માગવામા આવતા તે મુદ્દે હવે જીએસટી વિભાગે એડવાઇઝરી જાહેર કરીને વેપારીઓને મોટી રાહત આપી દીધી છે. હવેથી અપીલમા જવા માટે દસ ટકા ભરવા નહી પડે. એડવોકેટ કૃણાલ આઇસક્રિમવાલાએ કહ્યું કે સૌથી પહેલા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, હવે જે ફેરફાર આવ્યો છે તે મુજબ આવા કેસમાં ડિમાન્ડ ઓર્ડર સામે સુધારા એટલે કે રેક્ટિફિકેશન ફાઇલ કરવું પડશે. જે તે એડ્જ્યુકેટ અધિકારીની સમક્ષ આ ડિમાન્ડ ઓર્ડર સામે ભરેલ ડીઆરસી-03 ટેક્સ આ નોટિસ ડિમાન્ડ સામે જવાબદારી ડિટરમાઇન કરી ઓર્ડર પાસ કરવો પડશે. અ્ને ત્યારબાદઆ અપીલ-1 ફાઇલ કરી શકશે, જેથી ફરી જીએસટી પોર્ટલ દસ ટકા ટેક્સ ડિમાન્ડ માગી શકશે નહીં. અગાઉ વેપારી ટેક્સ ડીઆરસી-3થી ચુકવ્યો હોય છે પરંતુ જીએસટી પોર્ટલ સિસ્ટમ પર આ બિહેવિયર સમજી શકતું નથી અને ટેકસ ડિમાન્ડ ઝીરો હોય તો તે સીધું પેનલ્ટીના દસ ટકા ગણતું હોય છે. અપીલમાં જવા માટે દસ ટકા ન ભરે તો અપીલ કરી શકતા ન હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

આવતીકાલે મહારાષ્ટ્રની આરટીઈ એડમિશનની લોટરી જાહેર થશે

1.12 લાખ સીટ્સ ૨.૮૯ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરશે સોમવારે પુણેમાં સેન્ટ્રલાઈઝ્ડ પદ્ધતિએ લોટરી જાહેર થશે, સીટ્સ ખાલી રહે તો વધારાના રાઉન્ડ પણ લેવાય તેવી શક્યતા મુંબઇ - મહારાષ્ટ્રમાં આરટીઈ (શિક્ષણાધિકાર) પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૬-૨૭ હવે મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે, જેમાં ૬ એપ્રિલ ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે પુણે ખાતે ઓનલાઈન લોટરી ડ્રો યોજાશે. આ કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી દ્વારા ખાનગી શાળાઓમાં ૨૫% અનામત સીટ્સ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત સમાચાર 5 Apr 2026 5:30 am

જુગારધામ પર દરોડો:ઝુંડાળા ખાડી કાંઠેથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

પોરબંદરના ઝુંડાળા ખાડી કાંઠા વિસ્તારમાં એક મહિલાના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતી 6 મહિલાને ઝડપી લઇ કુલ રૂ.35,520નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોરબંદરના ઝુંડાળા ખાડી કાંઠે રહેતા નિરૂપાબેન મનસુખ વાળા નામની મહિલા પોતાના મકાનમાં અંગત ફાયદા માટે બહારથી મહિલાઓ બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવે છે તેવી ચોક્કસ બાતમી આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી આ મકાન માંથી જુગાર રમતી નિરૂપાબેન મનસુખ વાળા, અનિતા કિશોર રાઠોડ, જશોદાબેન ઉર્ફે અલકી મનસુખ રાઠોડ, સવિતાબેન મનસુખ રાઠોડ, ટમુબેન જગદીશ ચુડાસમા અને આશાબેન વિપુલ રાઠોડને ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ રૂ.35,520નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

રાણા બોરડી ભ્રષ્ટાચાર પ્રકરણમાં RTI થી મોટો ધડાકો:રાણાબોરડી ગામે ભ્રષ્ટાચારની તપાસમાં અધિકારીએ મુલાકાત કે નિવેદનો વિના તપાસ પુરી કર્યાના આક્ષેપો

રાણા બોરડી ગામે વિવિધ યોજનામાં ભ્રષ્ટાચાર અંગે માતૃભૂમિ સંસ્થા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.જે અંગેની તપાસ માટે તપાસ કમીટી રચાઇ હતી પરંતુ આ તપાસ કમીટી માત્ર કાગળ પર જ તપાસ કરી હોવાની આર. ટી.આઈ.માં સામે આવ્યું છે.આર.ટ .આઈ.માં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામ સરપંચ દ્વારા વિવિધ સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ ઉઠી હતી.આ ભ્રષ્ટાચાર મામલે સાત મહિના પહેલા તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ તપાસ સમિતિ દ્વારા આધાર પુરાવા સહિત ફરિયાદીઓએ અરજીઓ અને ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ જિલ્લા પંચાયત કચેરીનાં અધીકારીઓએ ગોળ ગોળ જવાબ દઈ અને આધાર પુરાવા હોવા છતાં તપાસ ખાલી કાગળ ઉપર જ કરી નાખી અને ભ્રષ્ટાચારીઓને બચાવવા ખાતર તપાસમાં ક્લિનચીટ આપી દીધી આ સમગ્ર મામલે તપાસ સમિતિ ફરિયાદીઓને કોઈપણ તપાસ અહેવાલ રજૂ કર્યા વિના ક્લિનચીટ આપી દીધી હોવાના અક્ષેપો કરવામાં આવ્યા છે. કાગળ પર તપાસ થઈ હોવાનું સામે આવ્યુ?મિશન માતૃભૂમિએ જિલ્લા વિકાસ અધિકારી તથા તપાસ સમિતિ કરેલ તપાસ અનુસંધાને સ્પષ્ટ જવાબ RTI ના માધ્યમથી સંપુર્ણ માહીતી માંગેલ હતી. જે.આર.ટી તપાસ સમિતિની આજદિન સુધી રાણા બોરડીની મુલાકાત તપાસ દરમિયાન ફરિયાદી તથા સંબંધીત પક્ષોના નિવેદનો લેવાયા હોય તેની માહિતી તપાસ અહેવાલ તથા ખાસ તપાસ દરમિયાન સરકાર ના કયા પરિપત્ર અને કયા બંધારણની જોગવાઈ હેઠળ તપાસમાં તકેદારી રાખવામાં આવી હતી સહિતના 14 થી વધુ મુદ્દાઓ સાથેની આરટીઆઇ કરવામાં આવેલી હતી જે આરટીઆઈ માં ફક્ત તમામ મુદ્દાઓમાં તપાસ કમિટીના આદેશની નકલ સામેલ છે તથા અહેવાલ સામેલ છે તેવો જવાબ આપી દેતા સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બન્યું હતું.જેથી ફરિયાદી દ્વારા તપાસ માત્ર કાગળ પે થઈ હોવાના આક્ષેપો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

વેધર રિપોર્ટ:પોરબંદરમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડ્યું

પોરબંદરમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં ફેરફાર નોંધાયો છે. મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 29.5 ડિગ્રી નોંધાયું છે જયારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટીને 20 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 20 ટકા વધીને 52 ટકા રહ્યું છે ત્યારે ગરમીમાં આંશિક રાહત મળી છે. પોરબંદરમાં કમોસમી વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ભેજના પ્રમાણમાં મોટો વધારો નોંધાયો છે. પોરબંદરમાં ગઈકાલે શુક્રવારે મહતમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 32 ટકા નોંધાયું હતું જેની સામે શનિવારે પોરબંદરમાં મહતમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 29.5 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટીને 20 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 20 ટકા વધીને 52 ટકા નોંધાયું છે. આમ તાપમાન ગગડી જતા અને ભેજનું પ્રમાણ વધી જતા ગરમીનું પ્રમાણ ઘટ્યું છે જ્યારે ભેજવાળું વાતાવરણ હોવાને કારણે રાત્રે ઠંડક પ્રસરી જાય છે. આ સિઝનનું સૌથી નીચું મહતમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું ઉલ્લેખનીય છેકે, છેલ્લા 1 માસ દરમ્યાન મહતમ તાપમાન 31 ડિગ્રીથી નીચું નોંધાયું નથી.ખાસ કરીને ઉનાળાની શરૂઆતે તા.11 માર્ચના મહતમ તાપમાન 40.9 ડિગ્રી સુધી પહોંચ્યું હતું અને બાદ તાપમાન નીચું આવ્યું હતું. છેલ્લા અઠવાડિયા દરમ્યાન મહતમ તાપમાન 35 થી 32. 5 ડિગ્રી સુધી રહ્યું હતું જ્યારે ગઈકાલે શનિવારે મહતમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું હતું જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

ઉટડા ગામની ઘટના:પાકમાં છાંટવાની ઝેરી દવા ચડી જતા સારવારમાં આધેડનું મોત

પોરબંદરના ઉટડા ગામે ખેતરમાં પાકમાં છાંટવાની ઝેરી દવા કોઈપણ કારણોસર ચડી જતા આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઉટડા ગામે રહેતા વાડી વિસ્તારમાં રહેતા નરશીભાઈ મેરૂભાઈ મોકરીયા નામના 55 વર્ષીય આધેડ ગત તા. 1/4ના રોજ પોતાના ખેતરના પાકમાં ઝેરી દવાનો છંટકાવ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર ઝેરી દવા ચડી જતા આ આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, સારવાર દરમ્યાન આ આધેડનું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. બનાવ અંગે સંજય નરશીભાઈ મોકરીયાએ પોલીસને જાણ કરતાં પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે. ગત માસે ઉંટડા ગામે આ પ્રકારે યુવાનનું મોત નિપજ્યું હતુંઉટડા ગામે રહેતા વલ્લભભાઈ કરશનભાઈ સોલંકી નામના 45 વર્ષીય યુવાન ગત તા. 28/2ના રોજ પોતાના ખેતરના પાકમાં ઝેરી દવાનો છંટકાવ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર ઝેરી દવા ચડી જતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, સારવાર દરમ્યાન આ યુવાનનું માર્ચ મહિનામાં મોત નીપજ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

ટીબી મુક્ત અભિયાન 2.0:ફેક્ટરી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર, 141‎મજૂરોનું સ્ક્રીનિંગ અને વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા‎

ટીબી મુક્ત અભિયાન 2.0 અંતર્ગત 100 દિવસીય કેમ્પેઈન વેગવંતુ બનાવી એક ફેક્ટરી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર યોજી હતી, જેમાં 141 મજૂરોનું સ્ક્રીનિંગ અને વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા ટીબી મુક્ત અભિયાન 2.૦ અંતર્ગત 100 દિવસીય કેમ્પેઈનને ગતિ આપવા હીરાવતી ફેક્ટરી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ફેક્ટરીમાં કાર્યરત મજૂરોના આરોગ્ય ચકાસણી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા કુલ 141 લોકોનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે 78 લાભાર્થીઓના બ્લડપ્રેશર, એચઆઈવી અને બ્લડશુગર જેવા જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વધુમાં 100 વ્યક્તિના એક્સ-રે પણ લેવામાં આવ્યા હતા, જેમાંથી એબનોર્મલ પરિણામ ધરાવતા દર્દીઓની આગળની NAAT તપાસ હાથ ધરાશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ નિઃશુલ્ક નિદાન અને સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શિબિરના સફળ આયોજન માટે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલુકા ટીબી સ્ટાફ તથા ફેક્ટરીના સહયોગી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

મંદિર,અન્નક્ષેત્ર, જૂની કોંગ્રેસ ઓફિસનો સમાવેશ થાય છે:સુદામા મંદિરના રિનોવેશન માટે પૂજારી સહિત 6 કબ્જેદારોને નોટિસ

પોરબંદરના સુદામા મંદિર બિલ્ડિંગના રીનોવેશન લગતી કામગીરી કરવા માટે સુદામાં મંદિરના પૂજારી સહિત 6 કબ્જેદારોને કબ્જા ખાલી કરવા નોટીસ અપાઈ છે.જેને નોટીસ પાઠવાઈ છે તેમા મંદિર,અન્નક્ષેત્ર, જૂની કોંગ્રેસ ઓફિસ અને કથાકાર રમેશભાઈ ઓઝાની સંસ્થાની ઓફિસનો સમાવેશ પણ થાય છે. પોરબંદરના મામલતદાર દ્વારા સુદામા મંદિર પરિષરમાં આવેલી પોરબંદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની કચેરીને, શ્રી ચામુંડા અન્નક્ષેત્ર સેવા સમિતિ ટ્રસ્ટના બિલ્ડીંગને, કથાકાર રમેશભાઈ ઓઝાની સંસ્થા શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટની કચેરીને, શ્રી ચતુભુજ અનાથાશ્રમને તેમજ નરેશ દેવસી વરવાડીયા નામના દુકાનદાર તથા સુદામા મંદિરના પૂજારી પ્રશાંતભાઈ રામાવતને ગત તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ નોટીસ આપવામાં આવી છે નોટીસમાં જણાવાયું છે કે, મામલતદાર કચેરી વહીવટ હેઠળના સુદામા મંદિર ટ્રસ્ટ હેઠળની જમીન પર આવેલ આ તમામ જગ્યા સુદામા મંદિરના રીનોવેશન કામગીરી માટે 15 દિવસમા ખાલી કરી દેવામાં આવે, સુદામા મંદિરના રીનોવેશન કામગીરી યાત્રા ધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા કરવાની હોવાથી આ જગ્યા ખાલી કરવા જણાવાયું છે. અને જો તેમ કરવામાં નહિ આવે તો કાર્યવાહી કરવાની નોટીસ આપવામાં આવી છે. સુદામા ચોકનો મંદિર પરિષદમાં સમાવેશપવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા સુદામા મંદિરના રીનોવેશન લગતી કામગીરી શરૂ થવાની છે અને સુદામા ચોકનો મંદિર પરિસદમાં સમાવેશ કરવાનો હોવાથી આ કામગીરી કરવામાં આવી છે. પરિસર મામલતદાર કચેરી હેઠળ આવતું હોવાથી 6 કબ્જેદારોને આ કચેરી દ્વારા નોટીસ પાઠવાઈ છે. >ભરતભાઇ સંચાણીયા,સીટી મામલતદાર પોરબંદર

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

વરસાદની આગાહી:પોરબંદર જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહીને અનુસરી તા.03/04/2026 થી તા.05/04/2026 દરમિયાન ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકના રક્ષણ માટે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. યાર્ડમાં પણ જણસી સુરક્ષિત રાખવા સૂચનાઆ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તથા ખાતર અને બિયારણનો જથ્થો ભીનો ન થાય તે માટે સુરક્ષિત સ્થળે રાખવો જરૂરી છે તેમજ ખેડૂતો તથા વેપારીઓને એ.પી.એમ.સી. યાર્ડમાં અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે અથવા ઢાંકી રાખવા તેમજ શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ માટે પેદાશો લાવવાનું ટાળવા સૂચન આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

ગ્રીન વાઈન સ્નેક દેખાતા આશ્ચર્ય સર્જાયું‎:ધરમપુર વાડીમાં ઘરમાં દુર્લભ લીલવણ સાપ ચઢી આવ્યો

પોરબંદરના ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા માંડાભાઈ કારાભાઈ મોરીના રહેણાંક મકાનમાં સાપ ચડી આવતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે માંડાભાઈએ તરત જ પોરબંદરની ઈગલ ગ્રુપ સંસ્થાના પ્રમુખ પંકજ અપારનાથીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ પંકજ અપારનાથીએ ટીમના સભ્ય જયદીપ મારુને સ્થળ પર મોકલ્યા હતા. જયદીપે કુશળતાપૂર્વક કામગીરી હાથ ધરી અને ઘરમાંથી દુર્લભ પ્રજાતિનો લીલવણ એટલે કે ગ્રીન વાઈન સ્નેક પકડી પાડ્યો હતો. સાપની વિશેષતા એ છે કે આ પ્રકારનો સાપ સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જોવા મળે છે. સાપ પકડ્યા બાદ તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે નજીકના પ્રાકૃતિક વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો. સાપનો રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લીલવણ સાપ ઝેરી હોવા છતાં માનવ માટે ખતરનાક નથી લીલવણ સાપ આ સાપ મુખ્યત્વે જંગલ અને ઝાડવાળા વિસ્તારમાં રહે છે, રંગ લીલો હોવાથી વૃક્ષોમાં સરળતાથી છુપાઈ જાય છે મધ્યમ ઝેરી હોવા છતાં માનવ માટે ખતરનાક નથી હોતો. આ સાપ ખૂબ પાતળું અને લાંબું શરીર તેની ખાસ ઓળખ છે, સાપની આંખો મોટી અને નજર તીક્ષ્ણ હોય છે સામાન્ય રીતે માણસને નુકસાન કરતો નથી અને પર્યાવરણ માટે ઉપયોગી અને જીવજંતુઓનું સંતુલન જાળવે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

રણનીતિ ઘડવા કોંગ્રેસી નેતાઓ એકઠા થયા:કોંગી અગ્રણીઓએ એકની એક કેસેટ‎વગાડીને ચૂંટણીની મિટીંગ પૂરી કરી‎

શહેરના ગાંધીચોક પાસે આવેલ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે જિલ્લા પ્રમુખ અમિત પટેલ અને પ્રદેશથી આવેલા નેતાઓએ આગામી જૂનાગઢ જિલ્લા પંચાયતની 30, તાલુકા પંચાયતની 158 સીટ અને કેશોદ નગરપાલિકાના 9 વોર્ડમાં ક્યાં પ્લાનીંગથી કામ કરવુ તેની ચર્ચાઓ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં ભાજપનુ શાસન રહ્યુ છે. લોકોમાં રોષ હોવા છતા તે કોગ્રેસના મતમાં પરિવર્તન થતો નથી. આ વખતે કોંગ્રી અગ્રણીઓ ભેગા થયા હતા પરંતુ તેમા કઇ વાત પર ભાર મૂકવો તે મુદ્દે અસંમજશ જોવા મળ્યુ હતુ. જિલ્લા કોગ્રેસ પ્રમુખ અમિત પટેલે કહ્યુ કે, અમે આ વખતની ચૂ઼ંટણી લડીશું અને યુવાનોને ટીકીટ આપી આગામી સમય ઉમેદવારો ઘોષીત કરીશુ. જોકે, ભાજપ સામે આક્રમકતાથી લડવા મામલે અગ્રણીઓેએ કહ્યુ કે, એ અમારી પાર્ટીનુ પ્લાનીંગ છે. આગામી સમયમાં બધાને ખબર પડી જશે. ઉલેખનીય બાબત એ છે કે, દર વખતે એકની એક વાત કરવા છતા સત્તાધીશપક્ષ સામે કોગ્રેસ હજુ સુધી ઉણુ ઉતર્યુ નથી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

કરુણાંતિકા સર્જાઈ:તળાવમાં ડુબી જતા માણેકવાડાના યુવાનનું મોત

તળાવમાં ન્હાવા પડેલા માણેકવાડાના યુવાનનું ડૂબી જતા મોત થતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. કેશોદ તાલુકાના માણેકવાડા ગામના 45 વર્ષીય અરવિંદભાઈ લક્ષ્મણભાઈ સોનારા શુક્રવારે ગામના ખારા તળાવમાં ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન તેઓ ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા. જેની જાણ થતા પોલીસે માણેકવાડાના જગદીશભાઈ રાજાભાઈ સોનારાનુ નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. અરવિંદભાઈના અકાળે મોતથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.જ્યારે અન્ય એક બનાવમાં બીમારીથી કંટાળી ઝાંઝરડા રોડ વિસ્તારના એક મહિલાએ ઝેરી પાવડર પી લેતા મોત નિપજ્યું હતું. શહેરમાં ઝાંઝરડા રોડ, કલ્પવન એપાર્ટમેન્ટ, કાસુદેવ પાર્ક ફુલવાટીકામાં રહેતા 56 વર્ષીય પ્રફુલાબેન સંજયભાઈ કોરડીયા નામના વૃદ્ધા ઘણા સમયથી માનસિક બીમાર હતા. દવા અને સારવાર કરાવવા છતાં પણ તબિયતમાં સુધારો નહીં થતા આખરે બીમારીથી કંટાળી જઈને ગુરુવારે રાત્રે પોતાના ઘરે ઝેરી પાવડર પી લીધો હતો. તાત્કાલિક પ્રફુલાબેનને સારવાર માટે ખસેડાયા હતા. જોકે જોકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લઈ લેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે મહિલાના મોત અંગે તેના પતિ સંજયભાઈ ગોપાલભાઈનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી હતી. આમ માણેકવાડાના યુવાનનું ડુબી જવાથી મોત થયું હતું જ્યારે અન્ય એક બનાવમાં મહિલાનું દવા પી લેતા મોત થયું હતું.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

સ્ટંટ કરનાર વિરૂદ્ધ પોલીસે કરી લાલ આંખ:સોમનાથ ભાવનગર હાઇવે પર‎ બાઈક પર સ્ટંટ કરનાર પકડાયો‎

ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. સોમનાથ ભાવનગર હાઇવે પર કાજલી બાયપાસ પાસે જોખમી રીતે બાઇક પર સ્ટંટ કરનાર ઇસમને પકડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જુનાગઢ રેન્જ આઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની રાહબરી હેઠળ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ મેળવવા માટે જોખમી સ્ટંટ આચરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને એલસીબીના પીઆઈ એસ.વી.રાજપુતના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો અને જિલ્લા ટ્રાફિક શાખાના સ્ટાફે ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ આધારે મોટર સાયકલ ઉપર ઉભો રહી બે હાથ છુટા મુકી નેશનલ હાઇવે પર કાજલી બાયપાસ પાસે જોખમી રીતે બાઇક પર સ્ટંટ કરી વીડિયો વાઇરલ કરનાર લાલજી સોમાભાઇ બામણીયાને પોલીસે પકડી પાડી મોટર સાઇકલ કી. રૂ.50 હજાર કબ્જે કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કેશોદ શહેરમાં વોકળા બ્યુટીફિકેશનમાં કોંક્રિટને બદલે પિચિંગ દિવાલ બનાવતાં લોકોએ કામ અટકાવી દીધું

કેશોદ શહેરના વોર્ડ નં 6 ના રહીશોએ ટીલોરી વોકળો સાંકળો હોય જેને લઈ વરસાદના પાણી ઘરમાં ઘુસી જતાં હોય વોકળા બ્યુટીફિકેશન કામગીરી સમયે વોકળાને વધુ ઉડો અને પહોળો કરવા માંગ કરી હતી અને હાલ જે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે તેને અટકાવી હતી. આ બ્યુટિફિકેશનની કામગીરીમાં વોકળાને ખોદી જે માટી નીકળે છે તેનો બહાર નિકાલ કરવો જોઈતો હતો તેની જગ્યાએ પાળો બનાવવામાં આવી રહ્યો છે. આ પાળા ઉપર કોંક્રિટ કામ કર્યા વગર પથ્થર મૂંકી દેવામાં આવી રહ્યાં હોય જે ચોમાસામાં વરસાદી પાણીના પ્રવાહના કારણે આ માટી ધસી જતાં પિચિંગ દિવાલના પથ્થર ફરી વોકળામાં પડી જશે અને પાણીના પ્રવાહને અવરોધ ઉભો કરશે તેવી ચિંતા વ્યકત કરી હતી. હવે જયારે શહેરીજનોના ફાયદામાં વોકળાની સુંદરતાની કામગીરી કરવામાં આવતી હોય તેનાથી જો પ્રજાને નુકશાન થતું હોય તો આવી કામગીરી અમારે નથી જોઈતી તેમ કહી કામ બંધ કરવા માંગ કરી હતી. અને જો કામગીરી કરવી જ હોય તો વોકળાને ઉંડો અને પહોળો કરવા રજૂઆતો કરી હતી. આથી વોર્ડન નં 6 ની રજૂઆતના પગલે ઘટના સ્થળે દોડી આવેલાં પાલિકા ચીફ ઓફિસર એમ. એમ. વાઘેલા અને એન્જીનિયર સહિતની ટીમે વોર્ડ નં 6 ના રહીશોને પાલિકા ફરીથી ટેકનિકલ ટીમ દ્વારા વોકળાના લેવલની તપાસ કરશે અને જે જગ્યાએ વોકળાની પહોળાઇ મળશે તે જગ્યાએ વોકળાને પહોળો કરાશે ત્યાં સુધી કામગીરી અટકાવવા બાંહેધરી હતી. ડિઝાસ્ટર એકટ હેઠળ કામગીરી કરોવોર્ડ નં. 6 ના વિરોધના પગલે ઘટના સ્થળે આવી પહોંચેલાં આપ પાર્ટીના ફ્રન્ટલ પ્રવિણ રામે સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી જેમાં તેમણે વોકળો પહોળો કરવા કોઈક જગ્યાએ પ્રાઇવેટ મિલકત નડતરરૂપ હોય તેવી સ્થિતીમાં વોકળા કાંઠે ગેરકાયદેર દબાણ હટાવવાની સાથે જો પ્રાઇવેટ મિલકત વરસાદી પાણી રોકતી હોય અને પ્રજાને મોટું નુકશાન થતું હોય તેવા સંજોગોમાં ડિઝાસ્ટર એક્ટ હેઠળ પ્રાઇવેટ મિલકતને દબાણ સમજી તેને દુર કરવાની સત્તા જીલ્લા મેનેજમેન્ટને હોય તેથી ડિઝાસ્ટર એક્ટ હેઠળ કામગીરી કરવા પાલિકાને સલાહ આપી હતી. સહી ઝુંબેશ કરી રજૂઆત કરીશું‎વોર્ડ નં. 6 ના લોકોની રજૂઆત સાંભળતાં શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ લાડાણીએ ચોમાસાના પાણીથી જાનહાની થાય અથવા તો માલ મિલકતને નુકશાન થાય તેવા સંજોગોમાં તાકિદે ડિમોલેશન કરવું પડે તે માટે ડિઝાસ્ટર એક્ટ અમલમાં છે પોતે પોતાની પાર્ટીના લેટરપેડ પર લખાણ કરી સોસાયટીવાળાઓની સહીઓ લઈ તંત્રને રજૂઆત કરશે તેવી સ્થાનિકોને બાંહેધરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

દારૂ ઝડપાયો:શહેરના દોલતપરામાંથી રહેણાંક મકાનમાંથી 32,000નો દારૂ જપ્ત

શહેરના દોલતપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો દેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડી રૂપિયા 32,000નો દારૂ જપ્ત કર્યો હતો. એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસ બાતમી મળી હતી કે, દોલતપરા જી.આઈ.ડી.સી.ના નાકે વોંકળા કાંઠે પુલ પાસે રહેતો હરદાસ ભુપત વંશ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીવાળા સ્થળે પોલીસે દરોડો પાડતા મકાનની પાછળના ભાગેથી પ્લાસ્ટિકના 8 કોથળાઓ મળી આવ્યા હતા. દરોડા દરમિયાન આરોપી હરદાસ ભુપત વંશ પોલીસને હાથ લાગ્યો નહોતો. પોલીસે સ્થળ પરથી રૂપિયા 32,000ની કિંમતનો 160 લિટર દેશી દારૂ કબ્જે આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

લોહીના સંગ્રહની ચિંતા દૂર:ઇનબિલ્ટ ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ સાથે જૂનાગઢ બ્લડ બેંક ‘હાઈટેક’ થઈ

જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ બેંકની સુવિધાઓને આધુનિક બનાવવાના હેતુથી RAF ગ્લોબલ સંસ્થાના સહયોગથી અદ્યતન બ્લડ બેંક રેફ્રિજરેટર (મોડેલ BR-360) અર્પણ કરવામાં આવ્યું છે. આ સુવિધાનું ઉદ્ઘાટન જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, પરંતુ લોહીના સંગ્રહ માટે મર્યાદિત ક્ષમતાને કારણે મુશ્કેલીઓ પડતી હતી. આ નવા 600 લિટરની ક્ષમતા ધરાવતા રેફ્રિજરેટરથી હોસ્પિટલની કુલ સ્ટોરેજ ક્ષમતા વધીને હવે 2200 યુનિટ જેટલી થઈ ગઈ છે. આ સાધનમાં 350 મિલીની આશરે 510 બ્લડ બેગનો સંગ્રહ કરી શકાશે. તેમાં ઇનબિલ્ટ ટેમ્પરેચર કંટ્રોલ અને ઓટોમેટિક થર્મોગ્રાફ રેકોર્ડર જેવી આધુનિક સિસ્ટમ છે, જે લોહીની ગુણવત્તા જાળવી રાખશે. વધુમાં, હોસ્પિટલને બ્લડના અલગ-અલગ ઘટકો (Components) છૂટા પાડવા માટેની મંજૂરી પણ સરકાર તરફથી મળી ગઈ છે. આ સુવિધા ખાસ કરીને ડિલિવરી સમયે વધુ પડતું લોહી વહી જવાથી જોખમમાં મુકાતી સગર્ભા મહિલાઓ અને અન્ય ગંભીર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. RAF ગ્લોબલના રિજિનલ હેડ તાપસ સતપથી અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ સુવિધાનો લાભ માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ આસપાસના અન્ય જિલ્લાના દર્દીઓને પણ મળશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

ભાસ્કર યુટિલિટી:વ્યવસાયવેરામાં મોબાઇલ‎નંબર અપડેટ કરાવી દેજો‎

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાયવેરાની સંપૂર્ણ કામગીરી હવે ઓનલાઈન કરવામાં આવી છે. આથી કરદાતાઓએ પોતાના મોબાઈલ નંબર સિસ્ટમમાં અપડેટ કરાવવા અનિવાર્ય છે. જે પેઢી, કંપની, દુકાન, ખાનગી બેંક, શૈક્ષણિક સંસ્થાઓ કે અન્ય ઓફિસો હેઠળ નોંધાયેલી છે, તેમણે પોતાના લેટેસ્ટ મોબાઈલ નંબર અપડેટ કરાવવા મનપા કચેરીએ કરાવી લેવા જણાવવામં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે સંસ્થાઓ કે એકમોએ હજુ સુધી વ્યવસાયવેરાની નોંધણી કરાવી નથી, તેમણે સત્વરે રજીસ્ટ્રેશન કરાવી લેવું. જો કોઈ એકમ નોંધણી વગર કાર્યરત જણાશે તો તેની સામે નિયમ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. વધુમાં, જે કરદાતાઓનો વ્યવસાયવેરો ભરવાનો બાકી છે,તેમને તાકીદે બાકી રકમ જમા કરાવી દેવા જણાવાયું છે. ડિજિટલ સુવિધાનો લાભ લેવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સહકાર આપવા પબ્લિક રિલેશન ઓફિસર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સમસ્યાનો વરસાદ : ઠેર-ઠેર રસ્તા ખોદીને ભૂલી જવાયા‎

જૂનાગઢમાં વિકાસના કામોમાં જોવા મળતી 'પક્ષપાતી ગતિ' હવે જનતામાં આક્રોશનું કારણ બની છે. એક તરફ શહેરના ભાજપ કાર્યાલય પાસેના રસ્તાઓ જાણે જાદુઈ લાકડી ફરી હોય તેમ રાતોરાત ચકાચક બની જાય છે, જ્યારે બીજી તરફ સામાન્ય નાગરિકોના વિસ્તારોમાં મહિનાઓ સુધી ખોદકામ અને ધૂળની ડમરીઓ સિવાય કંઈ મળતું નથી. મોહન નગર, શાંતેશ્વર અને ગોકુલનગર જેવા વિસ્તારો તંત્રની ઉદાસીનતાનો જીવંત પુરાવો છે. મોહન નગરમાં 28 દિવસથી રસ્તો અધવચ્ચે છોડી દેવાયો છે અને રસ્તા પર પડેલી લોખંડની કેચિન પટ્ટીઓ રાહદારીઓ માટે 'મોતનો સામાન' બનીને પડી છે. શાંતેશ્વર વિસ્તારમાં તો ત્રણ-ત્રાન મહિનાથી રસ્તાના નામે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ કરી દેવામાં આવ્યા છે. વૃદ્ધો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે અને જનતા નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર છે. સવાલ એ થાય છે કે, જો સત્તાધારી પક્ષના કાર્યાલય પાસે કામગીરી આટલી ઝડપથી પૂર્ણ થઈ શકતી હોય, તો સામાન્ય કરદાતાઓના વિસ્તારમાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો કેમ ગાયબ થઈ જાય છે? નોબલ સ્કૂલ રોડ પર ત્રણ જ મહિનામાં નવો રોડ તોડીને ગટર નાખવી એ મનપાના નબળા આયોજન અને પ્રજાના પૈસાનો વેડફાટ સૂચવે છે. શું તંત્ર માત્ર વીઆઈપી વિસ્તારો અને રાજકીય કચેરીઓની સુવિધા સાચવવા માટે જ છે. નોબલ સ્કૂલ રોડ : ભૂગર્ભ ગટર તૂટી, હજુ રિપેર નહીં જૂનાગઢમાં નોબલ સ્કૂલ રોડ પર હજુ માંડ ત્રણ મહિના પહેલાં જ નવો ડામર રોડ બનાવી નાગરિકોને સુવિધા આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, ગટરના પાઇપ દબાઈ જવાને કારણે કરોડોના ખર્ચે બનેલા આ રોડને ફરીથી તોડવાની ફરજ પડી છે. આ કોઈ એકલ-દોકલ કિસ્સો નથી, પરંતુ જૂનાગઢ પાલિકાના નબળા આયોજનનો પુરાવો છે. જ્યારે રોડ બનાવવામાં આવ્યો, ત્યારે નીચેની ગટર લાઈનોની મજબૂતી કે ક્ષમતા કેમ ચકાસવામાં ન આવી? શું કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો વચ્ચે સંકલનનો અભાવ હતો? આજે જ્યારે ગટર લાઈન રિપેર કરવા માટે રસ્તાનું ખોદકામ થઈ રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે લોકોના પરસેવાની કમાણીના નાણાં આ રીતે ધૂળમાં શા માટે મિલાવવામાં આવે છે. બેદરકારીના 28 દિવસ : રસ્તામાં લોખંડની પટ્ટીઓ જૂનાગઢના મોહનનગરના રહીશો છેલ્લા 28 દિવસથી વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બની રહ્યા છે. રસ્તાનું કામ શરૂ કર્યાને 1 મહિનો થવા આવ્યો હોવા છતાં કામ પૂરું કરવાનું તો દૂર, તેને અધવચ્ચે જ રામભરોસે છોડી દેવામાં આવ્યું છે. શા માટે કામ અટકેલું છે તેનો જવાબ આપવા કોઈ તૈયાર નથી. સ્થળ પરની વાસ્તવિકતા એ છે કે રસ્તો બનાવવા માટે લાવવામાં આવેલી લોખંડની કેચિન પટ્ટીઓ ઘણા દિવસોથી રસ્તાની વચ્ચે બિનવારસી હાલતમાં પડી છે. આ પટ્ટીઓ રાહદારીઓ માટે મોતનો સામાન સાબિત થઈ રહી છે. કામ અટકે ત્યારે જોખમી સામાન હટાવવો અનિવાર્ય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરના માણસો પટ્ટીઓ રેઢી મૂકીને ગાયબ થઈ ગયા છે. વાઘેલા અને પણસારા સામસામા આવી ગયા‎ શાંતેશ્વર અને ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ખોદીને મુકી દેવાયેલા રસ્તાના પગલે હજારો પરિવારો હાલાકી ભોગવી રહ્યા છે, ધંધા ઠપ થયા છે. રસ્તા પર ઠેર ઠેર વેરાયેલા કાંકરા અને અધૂરા કામને લીધે વૃદ્ધો અને મહિલાઓ લપસીને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. હીરાબેન આત્રોલિયા જેવી અનેક વ્યક્તિઓ આનો ભોગ બની હોસ્પિટલના ખાટલે છે. આ મામલે શનિવારે કોર્પોરેટર પ્રવિણ વાઘેલા અને વિપક્ષી નેતા લલીત પરસાણા આમને સામને આવી ગયા હતા. વિકાસ ભાજપ પુરતો સિમિત? જૂનાગઢમાં ભાજપ કાર્યાલય પાસેનો રસ્તો ખોદાયાના તુરંત બાદ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં દોઢ મહિનાથી રસ્તાઓ ખોદાયેલી હાલતમાં હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. આવો ભેદભાવ શું કામ? જૂનાગઢમાં વિકાસ શું માત્ર સત્તાધારી પક્ષની ઓફિસ પૂરતો જ સીમિત છે? > લલીત પણસારા, વિપક્ષી નેતા, મનપા, જૂનાગઢ ભાજપ કાર્યાલય પણ ટેક્ષ ભરે છેભાજપ કાર્યાલય પણ મહાનગરપાલિકામાં નિયમિત ટેક્ષ ભરે છે, તો ત્યાં રસ્તો બને તેમાં વિરોધ કેમ? જૂનાગઢ શહેરમાં રસ્તાનું કામ એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે, જેની શરૂઆત ત્યાંથી થઈ છે અને તે ક્રમશઃ અન્ય વિસ્તારો સુધી પણ પહોંચશે. વિપક્ષે ખોટી રાજનીતિ ન કરવી જોઇએ, એમને આ બધી કામગીરીની સમજ હોવી જરૂરી છે. > પ્રવિણ વાઘેલા, કોર્પોરેટર, મનપા, જૂનાગઢ

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ:એસટીમાં દિવ્યાંગ બસ પાસ ડિજીલોકરમાં પણ માન્ય ગણાશે

ગુજરાતમાં એસ.ટી. બસમાં મુસાફરી કરતા દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાત એસ.ટી. બસમાં મુસાફરી કરતા દિવ્યાંગતાની ટકાવારી પ્રમાણે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને એસ.ટી. બસમાં નિઃશુલ્ક મુસાફરી માટે અપાતા બસ પાસમાં રાહત આપી છે. જેમાં એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓના ડિજીલોકરમાં રહેલા ડિઝિટલ દિવ્યાંગ બસ પાસને માન્યતા આપી છે. એસ.ટી. બસમાં દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓએ મોબાઈલમાં ડિજીલોકર દ્વારા બતાવવામાં આવેલ પાસને હાર્ડકોપીની જેમ જ ફરજિયાતપણે માન્ય રાખવામાં આવશે. દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓના દિવ્યાંગ બસ પાસ હવે ડિજીલોકરમાં માન્યતા અપાતા પાસ ખોવાઈ જવા, ફાટી જવા કે ચોરી થઇ જવાના કિસ્સામાં ડુપ્લીકેટ પાસ જેવી સમસ્યાનું નિરાકરણ આવશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે લીધેલાં નિર્ણયનો એસ.ટી.ના જૂનાગઢ સહિતના 16 ડિવિઝનોમાં અમલ શરૂ કરી દેવાયો છે. ગુજરાત એસ. ટી. વિભાગ દ્વારા દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને દિવ્યાંગ બસ પાસમાં ડિજીલોકરને માન્યતા મળતા હવે દિવ્યાંગોએ એસ.ટી. બસની મુસાફરી દરમિયાન ડિજીલોકરનો પાસ કંડકટરને બતાવી મુસાફરી કરી શકશે. એસ.ટી. બસના કંડકટર અથવા જવાબદાર કર્મચારી દ્વારા ડિજીલોકર પાસ પર રહેલ ક્યુ.આર. કોડ સ્કેન કરી તેની સત્યતાની ચકાસણી કરાશે એમ જણાવ્યુ છે. પાસ ખોવાઇ જવો, ફાટી જવા જેવી સમસ્યાનુ નિરાકરણ ગુજરાત એ.ટી. વિભાગ દ્વારા દિવ્યાંગો માટે દિવ્યાંગ બસ પાસને લઈ સારો નિર્ણય લેવાયો છે. લાભાર્થી દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓના દિવ્યાંગ બસ પાસ હવે ડિજીલોકરમાં માન્યતા અપાતા પાસ ખોવાઈ જવા સહિતની સમસ્યા રહેશે નહિ. ઉપરાંત પાસ ખોવાઇ જવો કે ફાટી જવો સહિતની સમસ્યાનુ નિરાકરણ આવશે. જૂનાગઢ ડિવિઝનમાં તો અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. > વી.બી. ડાંગર, વિભાગીય નિયામક-જૂનાગઢ

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

હુકમ:સમર્પણ નજીક ફાટક તા.6થી કાયમી માટે બંધ

જામનગર મહાનગરપાલિકાની હદમાં સમર્પણ સર્કલથી વિજયનગર જકાત નાકા રોડ પર, સૈનિક ભવન પાસે આવેલ એલ.સી.નં.201 પર રેલ્વે ઓવર બ્રિજ બનાવવાના કામે તમામ પ્રકારના વાહનો માટે રેલ્વે ક્રોસીંગ (ફાટક) તા.6 એપ્રિલથી કાયમી ધોરણે બંધ કરવા કમીશનર ડી.એન.મોદીએ જાહેર નોટીસથી લોકોને જાણ કરવામાં આવી છે. તેની સામે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. નાના વાહનો માટેની વૈકલ્પીક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા શહેરના સમર્પણ સર્કલથી સત્યમ કોલોની અન્ડર બ્રીજ, રોઝી પેટ્રોલ પમ્પ થઇ વિજય નગર જકાત નાકા તરફ અવર-જવર થઈ શકશે. જ્યારે મોટા વાહનો માટે સમર્પણ સર્કલથી નાઘેડી બાયપાસ જંકશન, સાંઢીયા પુલ થઇ વિજયનગર જકાતનાકા તરફ અવર-જવર થઇ શકે તેવી. તેમજ સમર્પણ સર્કલથી નાઘેડી બાયપાસ જંકશન, નાઘેડીના પાટીયા, હિન્દુસ્તાન એનિમલ ફીડ (રેલ્વે ફાટક એલ.સી.નં-202) થઇ વિજયનગર જકાત નાકા તરફ અવર-જવર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નોટીસ અન્વયે કલેકટર દ્વારા તા.5-5-2023થી ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. જેનો અમલ કરવાનો હુકમ કમિશનરે ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરશે તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

વાતાવરણ:મેઘાવી માહોલ સાથે મહત્તમ પારો 30 ડિગ્રી

જામનગરમાં કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો મહત્તમ તાપમાનમાં પણ ઘટાડા સાથે 30 ડિગ્રી નોંધાઈ હતી. શનિવારે બપોર બાદ થોડીવાર માટે આકાશમાં વાદળો ઘેરાયા હતાં. પરંતુ થોડીવારમાં ફરી ઉઘાડ નિકળી ગયો હતો. છેલ્લા બે દિવસથી જામનગરમાં મેઘાવી માહોલ સર્જાયો હતો અને છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે શનિવારે પણ થોડીવાર માટે આકાશમાં વાદળો છવાયા હતા, પરંતુ થોડીવારમાં ફરી આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. ત્યારે શનિવારે સવારે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડા સાથે 30 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા ઘટીને 68 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 15 થી 20 કિ.મી.ની રહેવા પામી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘાવી માહોલ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

બોર્ડ પરીક્ષા પૂર્ણ થતા CCTV તપાસણી‎:ફૂટેજ ચેકિંગમાં 4 છાત્રો ગેરરીતી કરતા દેખાયા

જામનગર સહિત રાજયભરમાં ગત માર્ચ માસમાં બોર્ડની પરીક્ષાની પૂર્ણાહૂતિ બાદ શિક્ષણ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઇ હતી.જેમાં જામનગર જિલ્લામાં ચાર પરીક્ષાર્થીઓ શંકાસ્પદ હિલચાલ કરતા સીસીટીવી ફુટેજમાં જણાઇ આવ્યા હતા.જે તમામનુ હિયરીંગ પુર્ણ થયા બાદ તેનો રીપોર્ટ ગાંધીનગર કચેરીમાં જમા કરાવી દેવાયો છે. જામનગર સહિત્ હાલારમાં ગત 18મી માર્ચના રોજ ઘો.10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઇ હતી.જે બાદ દરેક પરીક્ષા કેન્દ્રો પર રખાયેલા સીસીટીવી ફૂટેજની ચકાસણીની કાર્યવાહી શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરાઇ હતી.જે દરમિયાન શિક્ષણ તંત્રને ઘો.10ના સીસીટીવી ફૂટેજમાં બે પરીક્ષાર્થીઓ શંકાસ્પદ હિલચાલ કરતા જણાઇ આવ્યા હતા.એજ રીતે ઘો.12 સામાન્ય પ્રવાહના પણ બે પરીક્ષાર્થીઓ સીસીટીવી ફુટેજમાં કેદ થયેલા માલુમ પડયા હતા. જે શંકાસ્પદ પરીક્ષાર્થીઓને હિયરીંગ માટે પણ બોલાવાયા હતા.જે બાદ સ઼બંધિત પરીક્ષાર્થીઓનુ કમિટિ સમક્ષ હીયરીંગ પુર્ણ થયા બાદ કમિટિ દ્વારા એક રીપોર્ટ તૈયાર કરાયો હતો.જે રીપોર્ટને રાજયના શિક્ષણ બોર્ડમાં જમા કરાવવામાં આવ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.ત્યાર બાદ જે પરીક્ષાર્ણી દોષિત હશે તેના પર કાર્યવાહી હાથ ધરાશે એમ સુત્રોએ ઉમેર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે, ગત બોર્ડ પરીક્ષા દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્યમાં ગેરરીતીના પણ બે કિસ્સા સામે આવ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

કામગીરી:શહેરમાં આચાર સંહિતાની અમલવારી વધુ 70 ભીંત ચિત્રો પર કલરનો પીછોડો

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જાહેર થતા જ જામનગર મહાનગરપાલિકાએ આચાર સંહિતાની અમલવારી શરૂ કરી છે અને શહેરમાં પક્ષોના બેનરો-ઝંડાઓ ઉતારવા તેમજ દિવાલો ઉપર પક્ષોના ચિત્રો પર પીછડા મારવામાં આવે છે. ત્યારે બીજા દિવસે દિવાલો પર 70 ચિત્રો પર કલરના પીછડા મારવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચુંટણીઓના કાર્યક્રમો જાહેર થયા પછી સરકારી તંત્ર દ્વારા આચાર સંહિતાની અમલવારી શરૂ કરી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ઓફિસર અનવર ગજણની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવી છે. શુક્રવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બેનરો (કિઓસ્ક બોર્ડ) 32 અને 200 પક્ષના ઝંડાઓ ઉતારી લેવાયા હતા, અને ભીત ચિત્રો પર 306 ચિન્હો પર કલરના પીછા મારવામાં આવ્યા હતા. જે બાદ શનિવારે પણ શહેરના વોર્ડનં-6 તથા 7 તથા 8 અને 9 સહિતના વિસ્તારોમાં કામગીરી કરી હતી. જેમાં દિવાલો પર રાજકિય પક્ષો દ્વારા પક્ષના પ્રચાર-પ્રસાર થાય તેવા લખાણો તેમજ ચિત્રો દોરવામાં આવ્યા હોય, તેવા 70 ચિન્હો પર કલરના પીછડા મારવામાં આવ્યા છે. તો બેનરો કે, ઝંડાઓ જોવા મળ્યા ન હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

કામગીરી:લાલપુરના રિટાયર્ડ પોલીસકર્મીના 4.90 લાખની રોકડ રકમનું બેગ પોલીસે ગણતરીમાં શોધી આપ્યું

જામનગર જિલ્લાના લાલપુરના વતની અને રીટાયર્ડ પોલીસકર્મી પોતાનું રૂ.4.90 લાખની રોકડ રકમનું બેગ કારમાં ભુલી ગયા હતા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને જાણ કરતાં તેઓએ તાત્કાલિક કારના ચાલકની ઓળખ કરીને રોકડ રકમ સાથેનો બેગ પરત મેળવીને રીટાર્યડ પોલીસકર્મીને પરત સોંપ્યો છે. લાલપુરમાં રહેતા મનસુખભાઈ જેરાજભાઈ નેસડીયા (ઉ.વ.68) નામના રીટાયર્ડ પોલીસકર્મી 1 એપ્રિલના રોજ રાજકોટ માધાપર ચોકડીથી સ્વીફ્ટ કારમાં બેસીને જામનગર શહેરના અંબર ચોકડી ખાતે ઉતર્યા હતા. તેઓ રૂ.4.90 લાખની રોકડ રકમ સાથેનું બેગ કારમાં ભુલી ગયા હતા. તેઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જે અંગેની પીએસઆઈ બી.બી.સિંગલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતા હતા. જેમાં અરજદાર અંબર ચોકડી ખાતે જે સ્વિફ્ટ કારમાંથી ઉતરેલ હોય, તેના ગાડીની ઓળખ કરીને માલિકનો સંપર્ક કર્યો હતો અને તે રાજકોટ ખાતે રહેતો હોય, જેથી પોલીસે નિવૃત પોલીસકર્મીને રાજકોટ ખાતે મોકલીને રોકડ રૂ.4.90 લાખ ગણતરીની કલાકોમાં પરત અપાવ્યા હતા. ભાગીદારને પૈસા આપવાના હતાલાલપુરના વતની અને રીટાયર્ડ પોલીસકર્મીની ખેતીની જમીનમાં ભાગીદારને રાખવામાં આવ્યા હતા. તેમાં જે પાક તૈયાર થયો હતો. તેનું વેચાણ કરવામાં આવ્યું હતું. ભાગીદારના નિકળતા રૂપિયા આપવાના હોવાથી તે લઈને લાલપુર જતાં હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

કૌભાંડો:ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના નામે લાખાબાવળમાં ગૌશાળાનું કૌભાંડ, ટ્રસ્ટીઓએ કર્યા ગંભીર આક્ષેપો

જામનગર શહેરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં લાખાબાવળમાં ટ્રસ્ટીએ પોતાના માતાના નામની ગૌશાળા શરૂ કરીને તેનો ખર્ચ ઓશવાળ ટરસ્ટન લીલાવતી નેચર ક્યોર સેન્ટર ઉઠાવતા હોવાના ટ્રસ્ટીઓએ આક્ષેપો કરતા ચકચાર મચી છે. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં ગાયોને રાખવા માટેની કોઈ જોગવાઈ નથી, તેમ છતાં રમણીકભાઈ શાહએ પોતાના માતાના નામથી લાખાબાવળ ગામમાં અન્ય ટ્રસ્ટ જેમ કે ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટની શ્રીમતી પાનીબેન ગૌશાળા અને પાંજરાપોર શરૂ કર્યુ છે અને સરકારી સહાય લઈ, ગાયોને લીલાવતી નેચર ક્યોરમાં રાખીને ગાયોનો નિભાવ લીલાવતી નેચર ક્યોર સેન્ટર કરે છે. ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ નોંધણી નંબર E 1281ની શ્રીમતી પાનીબાઈ ગૌશાળા અને પાંજરાપોરની ગાયોને LNC, OET નોંધણી E 650માં રાખવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ટ્રસ્ટના બંધારણમાં ગૌશાળાની જોગવાઈ જ નથી. તો ગાયો માટે આવતી સરકારી સહાય મેળવે છે, ગાયોને લીલાવતી નેચર કલબમાં રાખીને તેની તમામ કામગીરી ટ્રસ્ટના જ કરે છે અને તેમાંથી થતી આવક રમણીકભાઈ શાહ રાખે છે. આ ઉપરાંત લીલાવતી નેચર ક્યોર સેન્ટરમાં થેરાપીસ્ટ ડોકટરોને ખોટી બીલો બનાવવા માટે દબાણ કરવામાં આવે છે, અને તેમની પાસે છતા ન હોવા છતાં એક ડોકટરને છુટા કરી દેવામાં આવ્યા છે, તેમજ અહી ટ્રસ્ટની સગુન ભાડે આપવામાં આવી છે તે સદ્તર ગેરકાયદે છે. તેમ ટ્રસ્ટના ટ્રસ્ટી કંચનબેન હરીયા દ્વારા કથિત આક્ષેપો કરાતા ચકચાર મચી જવા પામી છે. ગાયોના વાછરડાઓને શ્વાનો મારીને ખાતા જોવા મળે છે..!જામનગરના લાખાબાવળ ગામમાં શરૂ કરાયેલ ગૌશાળાની ગાયોની દેખભાળ કરાતી ન હોય, અને પુરતું ઘાસ પણ અપાતું નથી. તે ગાયોના વાછરડાઓ શ્વાનો મારણ કરે છે અને તેના અંગો લીલાવતી નેચર ક્યોર સેન્ટરના કેમ્પસમાં આરોગતા જોવા મળતા ભયાનક હ્ય્દય દ્વાવવક ઘટના છે, જે અંગેના ફોટાઓ હોવાનું જણાવ્યું હતું. પાયાવિહોણા આક્ષેપો છે, આવું કંઇ નથી : ટ્રસ્ટી શાહ જામનગર ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી રમણીકભાઈ શાહ સામે કરાયેલા આક્ષેપો કરાયા છે, તે પાયાવિહોણા છે અને આવું કંઇ છે જ નહીં. જે હશે તે આગામી દિવસોમાં સામે આવી જાશે. બાકી સૌ જાણે છે.> રમણીકભાઈ શાહ ટ્રસ્ટી

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં:12 હોટેલ, રેસ્ટોરાંમાં પનીરના નામે પામોલિન, 85માંથી 25 સેમ્પલ ફેલ

શહેરની હોટેલ, રેસ્ટોરાં અને ઢાબામાં પનીરની સબ્જીના નામે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યાં છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગે ત્રણ મહિનામાં લીધેલા પનીરના 85 નમૂનામાંથી 25 નમૂના ફેઇલ (અપ્રમાણિત) જાહેર થયા છે. શનિવારે પણ 22 સ્થળે તપાસ કરી રૂ. 70 હજારનો દંડ વસૂલાયો હતો. શહેરમાં અનેક જગ્યાએ દૂધના પનીરને બદલે પામોલિન તેલ અને કેમિકલમાંથી બનેલું ‘એનાલોગ પનીર’ પીરસવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. મ્યુનિ.એ આ મામલે 12 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 3 મહિનામાં 22.42 લાખનો દંડ વસૂલાયો:મ્યુનિ.એ 3 મહિનામાં દૂધ, પનીર, મીઠાઈ અને ખાદ્યતેલ સહિત કુલ 2049 નમૂના તપાસ્યા છે, જેમાંથી 74 નમૂના અપ્રમાણિત જાહેર થતા 1411 એકમોને નોટિસ ફટકારી છે. આ સમયગાળામાં 3081 કિલો અને 3363 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરી કુલ રૂ. 22.42 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. અહીં નકલી પનીર વેચાતું 4 વર્ષમાં ન્યુટ્રાસ્યુટિકલ ફૂડના 6 જ સેમ્પલ લેવાયાંફૂડ વિભાગે 4 વર્ષમાં ન્યુટ્રાસ્યુટિકલ ફૂડ (વિટામિન ટેબ્લેટ, પ્રોટીન પાઉડર, પ્રોબાયોટિક ડ્રિન્ક્સ, ગ્રીન ટી, હર્બલ ઇન્ફ્યુઝન, સુપરફૂડ્સ સીડ્સ)નાં માત્ર 6 સેમ્પલ લીધા છે, જેમાંથી બે સબસ્ટાન્ડર્ડ હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:30 am

MICAનો 31મો દીક્ષાંત સમારોહ યોજાયો:255 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરાઈ, પ્રમાણપત્રો અને ફેલોશિપ પણ વિદ્યાર્થીઓને એનાયત કરાઈ

સ્કૂલ ઓફ આઈડિયાઝ MICA નો 31મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. 31માં દીક્ષાંત સમારોહમાં અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં 255 વિદ્યાર્થીઓને ડિપ્લોમા, પ્રમાણપત્રો અને ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. ટાટા સ્ટારબક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુશાંત દાશ દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ MICAની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્નાતક વિદ્યાર્થીઓના પરિવારોએ પણ હાજરી આપી હતી. 31માં દીક્ષાંત સમારોહમાં કુલ 255 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. જેમાં સ્નાતક જૂથમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ કોમ્યુનિકેશન્સના 152 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટના 49, ક્રાફ્ટિંગ ક્રિએટિવ કોમ્યુનિકેશન્સ પ્રોગ્રામના 48 અને ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 6 વિદ્યાર્થીઓને ડિગ્રી, પ્રમાણપત્રો અને ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રતિબિંબ અને નવીકરણ બંનેનું પ્રતીકMICAના ડિરેક્ટર અને CEO જયા દેશમુખે જણાવ્યું હતું કે, જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીવનના દરેક પાસામાં સમાવિષ્ટ થઈ રહ્યું છે. તેમ તેમ વિશ્વ કલ્પનાના યુગમાં આગળ વધી રહ્યું છે. આપણી ભૂમિકા એવા સર્જનાત્મક વિચારકોને ઉછેરવાની છે જે ભવિષ્યને આકાર આપી શકે. આ દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રતિબિંબ અને નવીકરણ બંનેનું પ્રતીક છે. MICA DNAમાં કંઈક એવું છે જે તમારામાંના દરેકને તમે જે કરવાનું પસંદ કરો છો તેમાં અલગ પાડશે. સ્નાતકોને સંસ્થાના જિજ્ઞાસા, સહાનુભૂતિ અને સ્થિતિસ્થાપકતાના મૂલ્યોને આગળ વધારવા વિનંતી કરી. અંતિમ પ્લેસમેન્ટમાં 7 ટકાનો વધારો વધુમાં જયા દેશમુખે જણાવ્યું હતું કે, જે સર્જનાત્મકતા, સંસ્કૃતિ, સંદેશાવ્યવહાર, વાણિજ્ય અને સમુદાયને એકીકૃત કરે છે. શૈક્ષણિક ઓફરોના વિસ્તરણની પણ નોંધ લીધી છે. જેમાં બ્રાન્ડ મેનેજમેન્ટ, સેલ્સ અને CRM, પ્રોડક્ટ મેનેજમેન્ટ, બિઝનેસ એનાલિસિસ અને કન્સલ્ટિંગ, અને ડેટા સાયન્સ અને એનાલિટિક્સ જેવા નવા વિશેષતાઓનો સમાવેશ થાય છે. જેમાં FMCG, મીડિયા અને મનોરંજન અને નાણાકીય સેવાઓ સહિતના ક્ષેત્રીય ફોકસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. MICAમાં ઉનાળાના ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં 17 ટકાનો વધારો અને સરેરાશ અંતિમ પ્લેસમેન્ટમાં લગભગ 7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. AI તમને વિકલ્પો આપશે. તમારું કામ સમજદારીપૂર્વક પસંદગી કરવાનું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 1:30 am

કાળીયાબીડ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો:બોરતળાવના કાચા રસ્તે સગાઈ થયેલ યુગલ પર જીવલેણ હુમલો અને લૂંટ કરનાર બંને શખ્સો ઝડપાયા

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સ્કૂલથી બોરતળાવ તરફ જતા કાચા રસ્તે બે દિવસ પૂર્વે રાત્રે લૂંટના ઈરાદે આવેલા બે અજાણ્યા શખ્સોએ એક યુગલ પર છરી વડે હુમલો કરી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા જે ફરિયાદ આધારે પોલીસે વિપુલ તથા હરેશ ઉર્ફે વિજયને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​ફરિયાદી દિશા અશોકભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.1/4/26 ના રોજ તેઓ તેમના ફિયાંશ મનદીપસિંહ અને પરિવાર સાથે વરતેજ ખાતે જમીને પરત ફરી રહ્યા હતા, રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે જ્યારે તેઓ કાળીયાબીડથી બોરતળાવ તરફ જતા રોડ પર વાતો કરવા માટે ઊભા રહ્યા હતા, ત્યારે કાળા કપડાં પહેરેલા અને મોઢે રૂમાલ બાંધેલા બે શખ્સો સ્કૂટર પર ત્યાં આવ્યા હતા, ​લૂંટારુઓએ છરી બતાવી પૈસાની માંગણી કરી હતી લૂંટરા ઓ એ મનદીપસિંહના ડાબા પડખામાં છરીના બે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, આ ઉપરાંત ગાલ અને હાથના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, દિશાબેન જ્યારે વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે બીજા શખ્સે તેમને ધક્કો મારી પછાડી દીધા હતા, ​મોટોરોલા કંપનીનો મોબાઈલ કિંમત રૂ.20,000, ​દિશાબેનનું પર્સ રૂ.1000 રોકડા અને ચાંદીના ચડા કિંમત રૂ.3500 તથા ​મનદીપસિંહનું પર્સ રૂ.6000 થી 7000 રોકડા ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા, ઈજાગ્રસ્ત મનદીપસિંહને તાત્કાલિક સર ટી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. દિશાબેનની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, આ ફરિયાદ આધારે નીલમબાગ પોલીસે બંને બુકાનીધારી ને ઝડપી લીધા હતા જેમાં હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ ઉ.મ.28 રહે.વાળુકડ ગામ તથા વિપુલ જીવરાજભાઈ જાદવ ઉ.મ.26 રહે.બોરતળાવ મફતનગર વાળા ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:12 am

પાલિકા-પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ આજે મૂરતિયા જાહેર કરશે:સંભવિત ઉમેદવારોના નામ આવ્યા સામે, રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટથી ચૂંટણી લડી શકે

ગુજરાતમામં પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં લાગી છે. આપ દ્વારા તો બે યાદી જાહેર પણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાયા બાદ આજે 15 મહાનગરપાલિકા માટે પોતાના મૂરતિયાના નામની જાહેરાત કરશે. રાજ્યની 6 જૂની મહાનગરપાલિકામાં કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટરો છે તેમાંના મોટાભાગના રિપિટ થઈ શકે છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે. રાજકોટ અને સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના કેટલાક સંભવિતોના નામ પણ સામે આવી ચૂક્યા છે. જેની આજે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવાનો મોટો પડકારઅમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર. આ રાજ્યની 6 જૂની મહાનગરપાલિકા છે જેમાં ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 9 નવી મહાનગરપાલિકામાં પણ પ્રથમ ચૂંટણી યોજાવાની છે. જૂની જે છ મહાનગરપાલિકા છે જેમાં અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષથી અને સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં 30 વર્ષથી સત્તા મળી નથી. 2027 વિધાનસભાની સેમિફાઈનલ સમાન ગણાતી 2026ની ચૂંટણીમાં જીત મેળવવાનો પાર્ટી માટે મોટો પડકાર રહેશે. સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસના 21 સંભવિતોના નામ સામે આવ્યા2021માં સુરત મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 1 પણ બેઠક મળી નહોતી. જ્યારે તેની સામે આમ આદમી પાર્ટી 27 બેઠક જીતવામાં સફળ રહી હતી. 30 વોર્ડની 120 બેઠક માટે પાર્ટી નામની જાહેરાત કરશે. જેમાં 21 સંભવિતોના નામે સામે આવ્યા છે. જેઓના નામની સત્તાવાર જાહેરાત આજે થઈ શકે છે. રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટથી ચૂંટણી લડી શકેરાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠકો માટે કોંગ્રેસ પોતાના મુરતિયા જાહેર કરશે. 2021ની ચૂંટણીમાં રાજકોટ મનપામાં કોંગ્રેસને ફક્ત 4 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યારે આ ચૂંટણીમાં પાર્ટી સામે પર્ફોમન્સ સુધારવાનો મોટો પડકાર છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટના વોર્ડ નંબર 2 થી ચૂંટણી લડી શકે છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા 19 સંભવિત ઉમેદવારને ટેલિફોનિક જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેઓના નામની આજે સત્તાવાર જાહેરાત કરાશે. વડોદરા મનપામાં કોંગ્રેસના 12 સંભવિત ઉમેદવાર 2021 વડોદરા મહાનગરપાલિાકની ચૂંટણીમાં કોંગ્રેસે ફક્ત 7 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 2026ની ચૂંટણી માટે પાર્ટીના સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર આશિષ જોશીને પાર્ટી ટિકિટ આપી શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા 5 મનપામાં 4 એપ્રિલ સુધીમાં જાહેર કરાયેલા ઉમેદવાર 11 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખરાજ્યમાં આ વખતે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10005 બેઠકોની એક જ તબક્કામાં એક સાથે ચૂંટણી યોજાઈ રહી છે. તમામ સંસ્થાઓમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારે તમામ પક્ષે 10 એપ્રિલ સુધીમાં પોતાના મૂરતિયાઓ જાહેર કરી દેવાના રહેશે. 2021 અને 2015માં રાજ્યની 6 જૂની મહાનગરપાલિકાનું પરિણામ

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:05 am

જોરાવરનગર પોલીસે વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું:અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી ₹1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

જોરાવરનગર પોલીસે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી વસ્તડી ગામ નજીક કરવામાં આવી હતી. ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ 7380 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹95 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દારૂ, ટેન્કર અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1.25 કરોડથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં ટ્રક ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, દારૂનો આ જથ્થો ગોવાથી ભરીને સૌરાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 10:55 pm

સચિનના રહેણાંક મકાનમાંથી 15.930 કિલો ગાંજો જપ્ત:જુગારમાં હારેલા પૈસા ભરપાઈ કરવા ઓડિશાથી રેલવે મારફતે ગાંજો લાવી વેચતો શખસ ઝડપાયો

સુરત શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કાર્યરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં 15.930 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા મુદ્દામાલની બજાર કિંમત લાખોમાં આંકવામાં આવી છે. પોલીસને મકાનમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો 15.930 કિલોગ્રામ ગાંજો મળી આવ્યોસુરત શહેર ક્રાઈમ બ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી કે સચિન કનકપુર-કનસાડ વિસ્તારમાં માદક પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ગઇકાલ તા. 03/04/2026ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની ટીમે વ્યૂહાત્મક રીતે રેઇડનું આયોજન કર્યું હતું. પોલીસે સચિન કનકપુર-કનસાડ સ્થિત શ્રીરામ નગર સોસાયટીના પ્લોટ નં. 3045-3046ના બીજા માળે આવેલા મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને મકાનમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો 15.930 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થાની કિંમત રૂ. 7,96,500 જેટલી થાય છે. પોલીસે સ્થળ પરથી ઓડિશાના વતની સુરેન્દ્ર ઉર્ફે ગોલ્ડન બાબુલા પ્રધાનની અટકાયત કરી હતી. શ્રીમંત બનવાની લાલચમાં તેણે મજૂરી કામ છોડી નશીલા પદાર્થોના વેચાણનો રસ્તો પકડ્યોપકડાયેલ આરોપી સુરેન્દ્ર ઉર્ફે ગોલ્ડન મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના કોદળા તાલુકાના બડા ગુડલાઇ મરદામેખા ગામનો વતની છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે માત્ર ધોરણ-10 સુધી ભણેલો છે. આરોપીના ગુનાહિત માનસ અને આ વ્યવસાયમાં આવવા પાછળના કારણો તપાસતા જાણવા મળ્યું કે સુરેન્દ્રને જુગાર રમવાની ભારે લત હતી. જુગારમાં મોટી રકમ હારી ગયા બાદ તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. દેવું ચૂકવવા અને ટૂંકા સમયમાં શ્રીમંત બનવાની લાલચમાં તેણે મજૂરી કામ છોડી નશીલા પદાર્થોના વેચાણનો રસ્તો પકડ્યો હતો. તે રેલવે મારફતે ઓડિશાથી નશીલા પદાર્થોનો જથ્થો મંગાવતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરીપોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 8,16,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં મુખ્યત્વે 15.930 કિલોગ્રામ ગાંજો (રૂ. 7,96,500), એક મોબાઇલ ફોન (રૂ. 20,000) અને નશીલા પદાર્થની હેરફેર માટે વપરાયેલ નાયલોનનો થેલો સામેલ છે. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ઓડિશામાં આ જથ્થો કોણે આપ્યો હતો અને સુરતમાં તે કોને સપ્લાય કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 10:51 pm

સુરત બેંગકોંકની ફ્લાઈટ 1 જુલાઈથી બંધ:એર કંપનીએ બુકિંગ બંધ કરી તેના કારણે કનેક્ટિવિટી ઘટી, સુરતીઓ પાસે માત્ર દુબઈની ફ્લાઈટ

સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ફટકો પડવાની તૈયારી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ, 2026 થી સુરત-બેંગકોક ફ્લાઇટ્સના બુકિંગ સ્થગિત કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી ફ્લાઈટને ફરી રિસિડ્યુલ કરવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર આ રૂટમાંથી નફો ન મળતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ - સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે કાર્યરત હતી. સુરતથી સવારે 10:50 વાગ્યે ઉપડતી, તે સાંજે 5:10 વાગ્યે બેંગકોક પહોંચે છે. બુકિંગ હવે બંધ હોવાથી, જુલાઈથી આ રૂટ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ઉનાળાના સમયપત્રક હેઠળ આ સંખ્યા ઘટીને ત્રણ થઈ ગઈનોંધનીય છે કે સુરત એરપોર્ટ પર ઉનાળુ સમયપત્રક 29 માર્ચ, 2026 ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને 24 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. શિયાળાના સમયપત્રક દરમિયાન, એરપોર્ટ પરથી કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જેમાં બેંગકોક, દુબઈ અને શારજાહની સેવાઓનો સમાવેશ થાય છે. દુબઈ ફ્લાઇટ્સ માટે એકથી વધુ સમય સ્લોટ ઉપલબ્ધ હોવાથી મુસાફરોને નોંધપાત્ર સુવિધા મળતી હતી. જોકે, ઉનાળાના સમયપત્રક હેઠળ આ સંખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ - જેમાં દુબઈની બે ફ્લાઇટ્સ અને બેંગકોકની એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. હવે, બેંગકોક ફ્લાઇટ સ્થગિત થયા પછી, જુલાઈથી શરૂ થતી ફક્ત બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દુબઈ જવા માટે કાર્યરત રહેશે. આ પહેલા, 29 માર્ચથી શારજાહની ફ્લાઇટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, જ્યારે દુબઈની વધારાની ફ્લાઇટને પણ સમયપત્રકમાંથી દૂર કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ અંગે સ્થાનિક સ્તરે પણ નારાજગી જોવા મળી રહી છે. સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ નબળી પડી શકે છેસંજય જૈન (સભ્ય, WWWAS) એ જણાવ્યું હતું કે, ટાટા ગ્રુપના નિયંત્રણ હેઠળ આવ્યા પછી, એરલાઇનની સુરત પ્રત્યેની નીતિ મૂંઝવણમાં મુકાઈ રહી છે. પહેલા, એર ઇન્ડિયા સેવાઓ પાછી ખેંચી લેવામાં આવી હતી, ત્યારબાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવ્યો હતો. હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, ગોવા અને શારજાહના રૂટ બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે બેંગલુરુ અને દુબઈ માટે ફ્લાઇટ ફ્રિકવન્સી ઘટાડવામાં આવી હતી. સતત ફેરફારોનો ભોગ મુસાફરો બની રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ નબળી પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 10:49 pm

પાલિકા ચૂંટણી પહેલા 'AAP' મુશ્કેલીમાં:AAPના દાવેદાર શ્રવણ જોશી સામે ભાજપ નેતાએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી, ઉત્રાણમાં પોસ્ટર વોર મામલે એકની ધરપકડ

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી માટે સંકટના વાદળો ઘેરાયા છે. વોર્ડ નંબર 26 ના મજબૂત દાવેદાર અને 'આપ' ના યુવા ઉપપ્રમુખ શ્રવણકુમાર જોશી વિરુદ્ધ ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે AI ટેકનોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યો વીડિયો વાયરલ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવાના મામલે ઉત્રાણ પોલીસે કિરીટ ઉર્ફે કેપી પાનસુરીયા નામના 'આપ' કાર્યકરની ધરપકડ કરી છે. શ્રવણ જોશી સામે ત્રીજી ફરિયાદસુરત મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે શ્રવણ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. અમિતસિંહે જણાવ્યું કે, તેમના નામે ફેસબુક પર 'Sravankumar Joshi' નામના એકાઉન્ટ પરથી 1 મિનિટ અને 58 સેકન્ડનો એક ડોક્યુમેન્ટ્રી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમિતસિંહના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી હતી. વીડિયોમાં તેમને હાથકડી પહેરેલા, અપહરણ કરતા અને કોરોનાકાળ દરમિયાન ટિકિટોનું કાળાબજાર કરતા હોવાના ખોટા દ્રશ્યો બનાવવામાં આવ્યા હતા. આ કૃત્ય દ્વારા તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.શ્રવણ જોશી સામે અગાઉ પણ ખંડણીની બે ફરિયાદો અને પાસાની કાર્યવાહી થયેલી છે, ત્યારે આ ત્રીજી ફરિયાદથી રાજકીય ગરમાવો વધી ગયો છે. વીડિયોમાં મર્ડર અને મહિલા ઉત્પીડન જેવા ગંભીર આક્ષેપોઅમિતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, શ્રવણ જોશીએ પોસ્ટ કરેલા વીડિયોમાં આશિષસિંગ મર્ડર કેસમાં તેમની સંડોવણી હોવાનું દર્શાવવા માટે માસ્ક પહેરેલા AI જનરેટેડ ચલચિત્રોનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, વીડિયોમાં મહિલા ઉત્પીડન, એસએમસી કર્મચારીઓને ગાળો આપવી અને એડવોકેટ અભિષેકસિંહ રાજપૂત પર હુમલો કરવા જેવી બાબતોને ખોટી રીતે વણી લેવામાં આવી હતી. લીંબાયત પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ કરી જૂની ફરિયાદોને એડિટ કરીને અમિતસિંહને આરોપી તરીકે દર્શાવવાનો ગુનાહિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં નેતા પ્રેમ વિવાદ મેં ફંસે જેવા કન્ટેન્ટ સાથે ફેબ્રિકેટેડ ન્યૂઝ ક્લિપિંગ્સ પણ જોડવામાં આવી હતી. રાજકીય પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ: અમિતસિંહ રાજપૂતફરિયાદી અમિતસિંહ રાજપૂતે પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય છે અને ગોડાદરા વિસ્તારમાં પોતાની ઓફિસ ધરાવે છે. શ્રવણકુમાર જોશીએ કોઈપણ આધાર-પુરાવા વિના, માત્ર રાજકીય દ્વેષ રાખીને તેમની બદનામી કરવા માટે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. પોલીસે આ મામલે વીડિયોની પેનડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરીને શ્રવણ જોશી વિરુદ્ધ આઈટી એક્ટ અને બદનક્ષીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અનાજના દુકાનદારો પાસે ખંડણી માંગવાના કેસમાં શ્રવણ જોશી અગાઉ જેલવાસ ભોગવી ચૂક્યા છે. ઉત્રાણમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવનાર 'આપ' કાર્યકર ઝડપાયોએક બાજુ શ્રવણ જોશી વિવાદમાં છે, તો બીજી બાજુ સુરતના ઉત્રાણ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્રાણ પોલીસે મૂળ જૂનાગઢના અને હાલ અમરોલી કોસાડ આવાસમાં રહેતા કિરીટ ઉર્ફે કેપી પરસોત્તમ પાનસુરીયાની ધરપકડ કરી છે. કિરીટ આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ વિવાદાસ્પદ પોસ્ટરો તે સરથાણા કિરણ ચોક ખાતે આવેલા 'આપ' ના કાર્યાલયથી લાવ્યો હતો. જોકે, આ પોસ્ટરો કાર્યાલય પર કોણે પહોંચાડ્યા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. શહેરના 16 સ્થળોએ પોસ્ટર વોરથી વાતાવરણ તંગસુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કતારગામ, ડિંડોલી, પુણા, પાંડેસરા અને ઉત્રાણ જેવા વિસ્તારોમાં ભાજપ સરકાર વિરુદ્ધના પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, ડ્રગ્સ, દારૂબંધી અને મોંઘા શિક્ષણ જેવા મુદ્દે ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. શહેરના મનીષા ગરનાળા, સુદામા ચોક, યમુના ચોક, પાટીદાર બ્રીજ અને મધુરમ સર્કલ સહિત કુલ 16 જેટલા મુખ્ય સ્થળોએ આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરોને કારણે ભાજપની છબી ખરડાતી હોવાનું માનીને વિવિધ વોર્ડ પ્રમુખો અને માજી કોર્પોરેટરોએ 6 અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવી હતી. કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન અને ગુનાહિત કાવતરુંપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 28મી અને 29મી માર્ચની મધ્યરાત્રિએ આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે આ પોસ્ટરો પર નિયમ મુજબ પ્રિન્ટર કે પ્રકાશકનું નામ કે સરનામું છાપવામાં આવ્યું નહોતું. આ પોસ્ટરો દ્વારા જનતામાં ભ્રમ પેદા કરવાનો અને રાજકીય પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં કિરીટ પાનસુરીયા સહિત કુલ 18 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પાલિકા ચૂંટણી પૂર્વે 'આપ' મુશ્કેલમાંસુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી માટે આ ઘટનાક્રમ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. એક તરફ પાર્ટીના યુવા નેતા શ્રવણ જોશી ગંભીર પોલીસ ફરિયાદોમાં ફસાયા છે, તો બીજી તરફ કાર્યકરોની ધરપકડથી સંગઠન પર દબાણ વધ્યું છે. ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે કરવામાં આવેલા પોસ્ટર વોર અને સોશિયલ મીડિયા કેમ્પેઈન હવે કાયદાકીય ગુંચવણમાં ફેરવાઈ ગયા છે. ભાજપ આ મુદ્દે આક્રમક મૂડમાં છે અને પોલીસની કાર્યવાહી પણ સતત ચાલુ હોવાથી આગામી દિવસોમાં 'આપ' ના વધુ નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પોલીસની આગામી તપાસ પર સૌની નજરહાલમાં પોલીસે શ્રવણ જોશી વિરુદ્ધ અમિતસિંહ રાજપૂતે આપેલા ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. AI દ્વારા બનાવેલા ફેક વીડિયોના કેસમાં સાયબર ક્રાઈમ સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ, ઉત્રાણ પોલીસ પોસ્ટર વોરના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે પકડાયેલા કિરીટ પાનસુરીયાના કોન્ટેક્ટ લિસ્ટ અને CCTV ચકાસી રહી છે. સુરત શહેરના રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને પોલીસ ફરિયાદોના આ દોરથી પાલિકા ચૂંટણીનો જંગ વધુ ખરાખરીનો બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 10:45 pm

મેલુસણમાં વીજળી પડતા યુવતીનું મોત:ખેતરમાં કામ કરતી વખતે વીજળી ત્રાટકી, અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામની સીમમાં વીજળી પડતા એક 21 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરસ્વતી તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આ સમયે મેલુસણ ગામની સીમમાં બાબુ જોરા રબારીના ખેતરમાં ખેતીકામ ચાલી રહ્યું હતું. વરસાદથી બચવા માટે ખેતરમાં કામ કરતા શ્રમિકો નજીકમાં આવેલા લીમડાના ઝાડ નીચે ઊભા હતા. તે જ સમયે, ગાજવીજ સાથે વીજળી ઝાડ પર ત્રાટકી, જેના કારણે આ દુર્ઘટના બની. મૃતક યુવતીની ઓળખ વાયડ અમરાની પાર્ટીના રહેવાસી રાધેસંગ સોમાજી જાદવ (ઠાકોર)ની 21 વર્ષીય પુત્રી આનંદબા તરીકે થઈ છે. તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઈજાગ્રસ્તોમાં હેતલબેન રાધેસંગ ઠાકોર, 48 વર્ષીય સુરતાબેન ડાહ્યાજી અને 43 વર્ષીય અમરસંગ બાબુજી ઠાકોરનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે મૃતકના પિતા રાધેસંગ સોમાજી જાદવે પોલીસને જાણ કરી છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 10:36 pm

નર્સિંગ-નેક્સસ-2026 રાષ્ટ્રીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન:આરોગ્ય ક્ષેત્રની ખામીઓ દૂર કરવા પર ચર્ચા કરાઈ

કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ગાંધીનગર ખાતે NURSING-NEXUS-2026 નામની પાંચમી દ્વિદિવસીય રાષ્ટ્રીય પરિષદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. 01 એપ્રિલથી 02 એપ્રિલ, 2026 દરમિયાન યોજાયેલી આ પરિષદનો મુખ્ય હેતુ Bridging Health Gaps: Nursing for Inclusive and Sustainable Development વિષય હેઠળ આરોગ્ય ક્ષેત્રની ખામીઓને દૂર કરી સર્વસમાવેશક અને સમાન આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન આપવાનો તેમજ નર્સિંગ ક્ષેત્રને મજબૂત બનાવવાનો હતો. આ પરિષદ કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલની પ્રેરણાથી યોજાઈ હતી. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાનો તરીકે ડો. ગાર્ગી રાજપરા, આઈ.કે. કડીવાલા, જવલંત બટાવિયા અને ડો. હિરલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજેશ રાવલ અને વાઇસ પ્રિન્સિપાલ પ્રો. ભાવિષા પટેલે પણ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોન્ફરન્સ દરમિયાન દેશભરના નિષ્ણાતો, શિક્ષણવિદો, સંશોધકો અને નર્સિંગ પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો. તેમણે વિવિધ વિષયો પર વ્યાખ્યાનો, પેપર પ્રેઝન્ટેશન અને ચર્ચાસત્રો યોજ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત સાથે થઈ હતી. પ્રિન્સિપાલ ડો. રાજેશ રાવલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે પ્રો. ભાવિષા પટેલે કોન્ફરન્સ રિપોર્ટ રજૂ કરી આભારવિધિ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 10:14 pm

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ:જિલ્લા ચૂંટણી અધિકારીએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે, કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-૨૦૨૬ દરમિયાન યોજાનારી આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે અત્યંત જરૂરી છે. તેમણે તમામ વિભાગોને સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા તેમજ આદર્શ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને તેના વ્યવસ્થાપન અંગે પણ સૂચનો અપાયા હતા. ચૂંટણી પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને આઈ.ટી. કામગીરી, સાયબર સિક્યુરિટી, વેબકાસ્ટિંગ અને વિડિયોગ્રાફી અંગે પણ સમીક્ષા કરાઈ. SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને સચોટ ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટે યોગ્ય આયોજન કરવા પણ સૂચના અપાઈ હતી. અંતમાં, ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર પોલિંગ સ્ટાફના વેલ્ફેર, દિવ્યાંગ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:51 pm

મહીસાગર LCBએ એક જ દિવસમાં 4 આરોપી ઝડપ્યા:અલગ અલગ ગુનાના વોન્ટેડ આરોપીઓ અરવલ્લી અને પંચમહાલના વતની

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક જ દિવસમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત LCB ટીમે આ કાર્યવાહી કરી હતી. LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ, ASI ભવાનજી અને હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS-2023 ની કલમ 61(2), 81, 85, 87, 137(2), 143(સી), 64(2)(એમ), 351(2)(3), 115(2) હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. ઝડપાયેલા આરોપીઓમાં મુકેશ કિરીટકુમાર જોષી (રહે. દધાલીયા, તા. મોડાસા, જિ. અરવલ્લી) અને ચેતન બાલુસિંહ ચૌહાણ (રહે. વાંટડા, તા. મોડાસા, જિ. અરવલ્લી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હેડ કોન્સ્ટેબલ ધર્મેશને મળેલી બાતમીના આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS-2023 કલમ 305(સી) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી આફતાબ ઉર્ફે મુશા ઇકબાલ પાયા (રહે. નદીપાર, ઇદગા મહોલ્લા, ગોન્દ્રા, તા. ગોધરા, જિ. પંચમહાલ) ને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ, મહીસાગર LCB ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની આ ડ્રાઈવ દરમિયાન એક જ દિવસમાં કુલ ચાર આરોપીઓને પકડી પાડવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:46 pm

દ્વારકામાં રઘુવંશી મહિલા ગ્રુપે સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું:સૂર્યમુખી હનુમાન મંદિરે ભક્તિમય માહોલ સર્જાયો, લોહાણા સમાજની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો

દેવભૂમિ દ્વારકાના પ્રાચીન સૂર્યમુખી હનુમાન મંદિરે રઘુવંશી યુવા મહિલા ગ્રુપ દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. રઘુવંશી યુવા મહિલા ગ્રુપ સમાજમાં જાગૃતિ લાવવા માટે દર મહિને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વખતે તેમણે ધાર્મિક કાર્યક્રમ પસંદ કર્યો હતો, જેમાં લોહાણા સમાજની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુંદરકાંડ પાઠ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. બહેનોએ સુંદરકાંડના પઠન દ્વારા આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે કૃપાબેન સામાણી, સોનલબેન કાતર, પૂનમબેન બથિયા, હીનાબેન કક્કડ અને નિધિબેન મોદી સહિત અનેક બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:40 pm

સુરત મનપાની ટીમનો રેસ્ટોરન્ટ અને લારીઓ પર સપાટો:ફૂડ વિભાગ દ્વારા 138 સ્થળોએ સઘન ચેકિંગ, 75 એકમોને નોટિસ અને સ્થળ પર જ 52 હજારનો દંડ

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે અચાનક ગ્રાઉન્ડ સર્જિકલ સ્ટ્રાઈક કરતા શહેરની અનેક જાણીતી રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. રાજ્ય સરકારના આદેશ બાદ હરકતમાં આવેલી મનપાની ટીમે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગ દ્વારા 138 સ્થળોએ સઘન ચેકિંગશહેરના ફૂડ વિભાગ દ્વારા આજે લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 110 એસ્ટાબ્લિશમેન્ટ અને 28 લારીઓ મળી કુલ 138 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. નિયમોના ભંગ બદલ તંત્રએ આક્રમક વલણ અપનાવી 75 એકમોને કડક નોટિસ ફટકારી છે અને સ્થળ પર જ 52,300 નો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. તંત્રના કડક વલણથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટમ્યુનિસિપલ કમિશનર અને ફૂડ સેફ્ટી કમિશનર ગાંધીનગરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ઝુંબેશ અંતર્ગત હવે દરેક રેસ્ટોરન્ટ અને લારી ધારકોએ પોતે ઉપયોગમાં લેતા પનીર, ખાદ્યતેલ, ચીઝ અને બટરની ગુણવત્તા અને બ્રાન્ડ અંગેના બોર્ડ જાહેર જનતા વંચી શકે તે રીતે ફરજિયાત પ્રદર્શિત કરવાના રહેશે. તંત્રના આ કડક વલણને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:25 pm

કંડલામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી:અફરાતફરી મચી, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં, ફાયર વિભાગની બે ટીમ ઘટના સ્થળે

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીધામ નજીક આવેલી કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. ગાંધીધામ શહેરમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)માં આવેલી ટેક્સવુલ સ્પિનર્સ એન્ડ ક્લોથિંગના યુનિટમાં આજે શનિવારે મોડી સાંજે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ ફાયર ટીમને કરાતા બે જેટલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:25 pm

સુરત મનપાની ચૂંટણી માટે બેઠક દીઠ ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર:1720 દાવેદારોના નામ પર કાતર ફેરવાઈ, વય મર્યાદા, નો રિપિટ થીયરીના કારણે અનેક દિગ્ગજોના પત્તા કપાયા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના પ્રથમ તબક્કાના અંતે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની કુલ 120 બેઠકો માટે નોંધાયેલા 2080 જેટલા દાવેદારોમાંથી ગાળણ પ્રક્રિયા હાથ ધરીને માત્ર 360 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ યાદી હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવી છે, જેનો અર્થ એ થયો કે ટિકિટની આશા રાખીને બેઠેલા 1720 દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું છે. ત્રણ દિવસની કસરત બાદ 120 બેઠકો માટે 'થ્રી-નેમ' પેનલ તૈયારભાજપ દ્વારા સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે નિરીક્ષકો મોકલીને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સતત ત્રણ દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. ગઈકાલે મોડી રાત સુધી ચાલેલી સંકલન બેઠકમાં શહેરના અગ્રણીઓ અને નિરીક્ષકોએ દરેક બેઠક દીઠ ત્રણ સક્ષમ નામોની પસંદગી કરી છે. શોર્ટલિસ્ટ થયેલા આ 360 નામોમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો અને જે-તે વિસ્તારમાં દાવેદારના વર્ચસ્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે આ નામોમાંથી આખરી મહોર ગાંધીનગર ખાતે લગાડવામાં આવશે. વય મર્યાદા અને 'નો રિપીટ' થીયરીએ અનેક દિગ્ગજોના પત્તા કાપ્યાઆ વખતની પસંદગી પ્રક્રિયામાં ભાજપે કડક માપદંડો અપનાવ્યા છે. સંકલન બેઠકમાં મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો: 60 વર્ષથી વધુની વય ધરાવતા કાર્યકરો, ત્રણ ટર્મથી સતત કોર્પોરેટર રહેલા વ્યક્તિઓ અને પક્ષના હોદ્દેદારોના સગા-સંબંધીઓ. આ 'કાઈટેરિયા'ને કારણે સુરતના અનેક માજી કોર્પોરેટરો અને વર્ષોથી પક્ષમાં સક્રિય રહેલા જૂના જોગીઓના પત્તા કપાઈ ગયા છે. 1720 દાવેદારોને રેસમાંથી બહાર કરી ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષ શિસ્ત અને નવા ચહેરાઓને વધુ મહત્વ આપવા માંગે છે. મુખ્યમંત્રીના નિવાસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક શરૂશહેર ભાજપ દ્વારા તૈયાર કરાયેલી 360 નામોની યાદી લઈને પ્રદેશ નેતૃત્વ હવે એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ હોદ્દેદારો સુરત સહિતના મહાનગરોની પેનલ પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક બેઠક પર મોકલવામાં આવેલા ત્રણ નામોમાંથી શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરવા માટે આઈ.બી. રિપોર્ટ અને સ્થાનિક પ્રતિષ્ઠાને પણ ધ્યાને લેવામાં આવી રહી છે. યુવા, શિક્ષિત અને મહિલા ચહેરાઓ પર ભાજપનો વિશેષ ફોકસભાજપ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'નવીનતા' લાવવાના મૂડમાં છે. સંકલન બેઠકમાં જે નામો શોર્ટલિસ્ટ થયા છે, તેમાં મોટાભાગના ઉમેદવારો યુવા અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. પક્ષના આંતરિક વર્તુળો મુજબ, વડાપ્રધાનના વિઝનને અનુસરીને મહિલા પ્રતિનિધિત્વ અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા (ડોક્ટર, એન્જિનિયર, વકીલ) ચહેરાઓને પ્રથમ પસંદગી આપવામાં આવી રહી છે. સામાજિક સમીકરણોને જાળવી રાખવા માટે ઓબીસી, પાટીદાર અને લઘુમતી બહુલ વિસ્તારોમાં પણ ખાસ રણનીતિ ઘડવામાં આવી છે. 8 થી 10 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાતરાજ્યની 15 મહાનગરો અને અન્ય સ્થાનિક સંસ્થાઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. આ સંજોગોમાં ભાજપ હાઈકમાન્ડ આગામી 8 થી 10 એપ્રિલ દરમિયાન તબક્કાવાર ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરી શકે છે. સુરત મહાનગરપાલિકામાં ગત ચૂંટણીના પરિણામો અને વિપક્ષની સક્રિયતાને જોતા, ભાજપ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. તેથી જ અત્યંત ગુપ્તતા અને ચોકસાઈ સાથે ઉમેદવારોના નામો પર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દાવેદારોમાં ભારે ઉત્તેજના અને અસંતોષની ભીતિ1720 જેટલા દાવેદારોના નામો કપાઈ જતાં સુરત ભાજપના આંતરિક વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે. જે દાવેદારોએ વર્ષો સુધી પક્ષ માટે કામ કર્યું છે અને આ વખતે શોર્ટલિસ્ટમાં સ્થાન નથી મેળવી શક્યા, તેમની નારાજગી પક્ષને ન નડે તે માટે ડેમેજ કંટ્રોલની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. શહેર સંગઠનના હોદ્દેદારો નારાજ કાર્યકરો સાથે વ્યક્તિગત સંપર્ક કરી રહ્યા છે. ચૂંટણી જંગમાં ટિકિટ ન મળવા છતાં પક્ષના ઉમેદવારને જીતાડવા માટે તમામ કાર્યકરો એકજૂથ રહે તેવો આદેશ પણ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:21 pm

'ટીકા કરનારા કરે, અમે તો દરવાજે લીંબુ-મરચાં બાંધી દીધા છે':સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું 'CVD ડાયમંડ હબ' બનીને ઉભરશે, આગામી 5 મહિનામાં વધુ 500 ઓફિસો ધમધમશે

સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ખજોદ સ્થિત વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડિંગ 'સુરત ડાયમંડ બુર્સ' (SDB)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બુર્સમાં કાર્યરત થયેલા વિવિધ વેપારીઓની ઓફિસોની રૂબરૂ મુલાકાત લઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 'ટીકા કરનારા કરે, અમે તો દરવાજે લીંબુ-મરચાં બાંધી દીધા છે' આગામી બે વર્ષમાં સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું 'CVD ડાયમંડ હબ' બનીને ઉભરશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે રીતે કામગીરી આગળ વધી રહી છે, તેને જોતા મુંબઈ નહીં પણ સુરત જ લેબગ્રોન અને નેચરલ ડાયમંડનું કેન્દ્ર રહેશે. ઉદ્યોગકાર મુકેશ પટેલને આ પ્રોજેક્ટની ગતિ વધારવા માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. એક વર્ષમાં 1500 અને આગામી 5 મહિનામાં વધુ 500 ઓફિસો ધમધમશેSDBની પ્રગતિ અંગે વિગતો આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખૂબ જ ટૂંકા ગાળામાં અહીં વેપારીઓએ પોતાની ઓફિસો શરૂ કરી દીધી છે. આંકડાકીય વિગતો આપતા તેમણે કહ્યું કે, આવનારા એક વર્ષમાં બુર્સમાં કુલ 1500 જેટલી ઓફિસો કાર્યરત થઈ જશે. એટલું જ નહીં, આગામી માત્ર 5 મહિનામાં વધુ 500 નવી ઓફિસોના શ્રીગણેશ થશે. રફથી લઈને પોલિશ્ડ હીરાનું કામ એક જ છત નીચે થશેઅત્યારે દરરોજ સરેરાશ 2800થી 3200 લોકોની એન્ટ્રી બુર્સમાં નોંધાઈ રહી છે, જે દર્શાવે છે કે વેપારની ગતિ તેજ બની રહી છે. રફ હીરાના વેપારીઓ પણ આગામી 4 મહિનામાં અહીં પોતાની ઓફિસો શરૂ કરે તે માટે આશ્વાસન આપવામાં આવ્યું છે, જેનાથી રફથી લઈને પોલિશ્ડ હીરાનું કામ એક જ છત નીચે થશે. બ્રોકરો માટે સસ્તા દરે ભોજન અને કેબિનની સુવિધાની જાહેરાતહીરા ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા દલાલો અને બ્રોકરો માટે હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, બુર્સમાં આવતા તમામ દલાલો માટે સસ્તા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તેવી 'ભોજનશાળા'ની વ્યવસ્થા વહેલી તકે શરૂ કરવામાં આવે. 'તમારી ઓફિસ કે નાની કેબિન શરૂ કરો'તેમણે દલાલોને અપીલ કરી હતી કે, તમે બધા જ SDBમાં વેપાર કરવાનું નક્કી કરો, અહીં તમારી ઓફિસ કે નાની કેબિન શરૂ કરો જેથી તમે આરામથી હીરા જોઈ શકો અને વેપાર કરી શકો. બ્રોકરોનો વેપાર વધે તે માટે જરૂરી તમામ પાયાની સુવિધાઓ બુર્સ પ્રશાસન દ્વારા ઉભી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. દુબઈ જવાની જરૂર નહીં પડે, સુરતમાં જ રફ ટેન્ડરિંગનો ધમધમાટસુરતના વેપારીઓને રફ હીરાના ટેન્ડરિંગ માટે અત્યાર સુધી દુબઈ કે અન્ય વિદેશી કેન્દ્રો પર નિર્ભર રહેવું પડતું હતું, જેમાં સમય અને નાણાંનો વ્યય થતો હતો. આ બાબતે મંત્રીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાવેશભાઈના સહયોગથી તાજેતરમાં SDBમાં 3 મોટા રફ ટેન્ડર સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, જેમાં અંદાજે 500 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. આગામી 20 દિવસમાં વધુ 3 ટેન્ડરો આવવાના છે. રફ હીરાના વેપારીઓ આગામી ચાર મહિનામાં અહીં સ્થાયી થશે, જેનાથી સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય સ્તરે રફ ટેન્ડરિંગનું પણ મુખ્ય કેન્દ્ર બની જશે. ‘અમે બુર્સના દરવાજે લીંબુ-મરચાં બાંધ્યા છે’બુર્સની ટીકા કરનારાઓ પર આકરા પ્રહાર કરતા હર્ષ સંઘવીએ વ્યુત્પન્ન શૈલીમાં જણાવ્યું હતું કે, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ જોઈને અમુક લોકોને ઈર્ષ્યા થાય તે સ્વાભાવિક છે. જેમને જેટલી ટીકા કરવી હોય તેટલી કરે, અમે તો બુર્સના દરવાજે લીંબુ-મરચાં બાંધી દીધા છે જેથી કોઈની નજર ન લાગે. '15 વર્ષની રાહ નહીં જોઈએ, સુરતની ગતિ જ અલગ છે'તેમણે ભારત ડાયમંડ બુર્સ (મુંબઈ) સાથે સરખામણી કરતા કહ્યું કે, મુંબઈમાં બુર્સ કાર્યરત થતા 15 વર્ષ લાગ્યા હતા અને 20 વર્ષે માંડ એક ઓફિસ શરૂ થઈ હતી, જ્યારે સુરતમાં માત્ર 2 વર્ષમાં 250થી વધુ ઓફિસો ધમધમતી થઈ ગઈ છે. અમે 15 વર્ષની રાહ નહીં જોઈએ, સુરતની ગતિ જ અલગ છે. 'હું ઘરે જઈને ચા પીવડાવીને અહીં લઈ આવીશ'વેપારીઓ અને કર્મચારીઓની સુવિધા માટે પરિવહન સેવાઓને વધુ મજબૂત બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે SDB સુધી પહોંચવા માટે બસોની સંખ્યા અને ફ્રિકવન્સીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે જેથી કનેક્ટિવિટીનો પ્રશ્ન ન રહે. અંતમાં તેમણે હળવા અંદાજમાં વેપારીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, જે વેપારીઓનું મન અહીં આવવામાં હજુ થોડું ઓછું હોય, તેમને હું ઘરે જઈને ચા પીવડાવીને અહીં લઈ આવીશ. જ્યારે મોટી સંખ્યામાં નવી ઓફિસોનું ઓપનિંગ થશે, ત્યારે હું પોતે બેન્ડ-બાજા સાથે આવીશ અને બધાને સાથે રાખીને આ ઉત્સવ ઉજવીશ. 2 વર્ષમાં સુરત બનશે ગ્લોબલ CVD હબમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 2 વર્ષમાં સુરત ડાયમંડ બુર્સ (SDB) વિશ્વનું સૌથી મોટું CVD ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર બનશે. અત્યાર સુધી આ ક્ષેત્રમાં મુંબઈનું વર્ચસ્વ હતું, પરંતુ હવે સુરત તેને ઓવરટેક કરશે. હર્ષ સંઘવીએ CVD વેપારીઓને ખાસ વિનંતી કરી કે તેઓ આ ઉદ્યોગને માત્ર એક નાના વ્યવસાય તરીકે નહીં, પણ ભવિષ્યના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગના મુખ્ય ભાગ તરીકે જુએ અને વધુ મજબૂતીથી કામ કરે.તેમણે CVD હીરાના વેપારીઓને આ ઉદ્યોગને માત્ર વ્યવસાય તરીકે નહીં પણ મજબૂત ઓળખ તરીકે આગળ ધપાવવા વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:13 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:07 pm

ખજોદના કચરાના ડુંગરમાં ફરી આગ:ધખધખતી ડિસ્પોઝલ સાઈટ પર ધુમાડા, બે અઠવાડિયા પહેલાં લાગેલી આગ સંપૂર્ણપણે શાંત થઈ નથી!

સુરત શહેર માટે ખજોદ સ્થિત ડમ્પિંગ સાઈટ ફરી એકવાર માથાનો દુખાવો બની છે. છેલ્લા બે અઠવાડિયાથી ધખધખતી ડિસ્પોઝલ સાઈટ પર આજે કચરો ઉલેચવાની કામગીરી દરમિયાન ફરીથી આગ લાગી હોવાના ધુમાડા નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ ફાયર ફાઈટરો આગ બુઝાવવા મથામણ કરી રહ્યા છે, તો બીજી તરફ આ આગને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વિપક્ષે આ ઘટનાને કચરા કૌભાંડ ગણાવી એજન્સી સામે ગંભીર આક્ષેપો કર્યા‌ હતા. બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીમળતી માહિતી મુજબ, સુરત મનપાની ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર જમા થયેલા લાખો ટન કચરાના નિકાલ માટે હાલમાં લેગસી વેસ્ટ રેમીડિએશનની કામગીરી ચાલી રહી છે. આજે જ્યારે મશીનરી દ્વારા કચરો ઉલેચવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે અંદર દબાયેલો ગેસ અને ગરમીને કારણે અચાનક ધુમાડો નીકળ્યો હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે સતત પાણીનો મારો ચાલુ છે. બે અઠવાડિયા પહેલાં લાગેલી આગ સંપૂર્ણપણે શાંત થઈ નથી!આશ્ચર્યની વાત એ છે કે, આ કોઈ નવી ઘટના નથી. છેલ્લા બે અઠવાડિયા અગાઉ ખજોદ સાઈટ પર ભીષણ આગ લાગી હતી, જે હજુ સુધી સંપૂર્ણપણે શાંત થઈ નથી. કચરાના ઢગલા નીચે સતત ધુમાડા નીકળતા રહે છે. ફાયર વિભાગે અગાઉ પણ 4 દિવસ સુધી મહેનત કરીને આગ કાબૂમાં લીધી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આજે લાગેલી આગે પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઝેરી ધુમાડો ફેલાતા સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. વિપક્ષ આ વાત માનવા તૈયાર નથીડમ્પિંગ સાઈટ પર અવારનવાર લાગતી આગ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનરે અગાઉ ખુલાસો કર્યો હતો કે, વર્ષો જૂના કચરાના ઢગલામાં મિથેન ગેસ પેદા થતો હોય છે. ઉનાળાની ગરમીમાં આ ગેસને કારણે 'સ્વયંભૂ દહન' જેવી પ્રક્રિયા થાય છે, જે ટેકનિકલી રોકવી મુશ્કેલ છે.જોકે, વિપક્ષ આ વાત માનવા તૈયાર નથી. નિષ્ફળતા છુપાવવા માટે આગનો સહારો-વિપક્ષવિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ આગ કુદરતી નથી, પણ લગાડવામાં આવી છે. વિપક્ષના જણાવ્યા અનુસાર, કચરાના નિકાલ માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આગનો સહારો લઈ રહી છે. જો કચરો બળી જાય, તો તેને પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી અને એજન્સીને બેઠો ફાયદો થાય છે તેવો ગંભીર આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. કચરાને સેગ્રીગેટ કરીને તેનો નિકાલ કરવાનો 231 કરોડનો કોન્ટ્રાક્ટસુરત મહાનગરપાલિકાએ ખજોદ ખાતેના લેગસી વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એક ખાનગી એજન્સીને અંદાજે 231 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એજન્સીએ કચરાને સેગ્રીગેટ કરીને તેનો નિકાલ કરવાનો હોય છે. કચરો સળગવાથી પ્રદૂષણ વધ્યુંખજોદમાં લાગેલી આગ માત્ર રાજકીય મુદ્દો નથી, પણ પર્યાવરણીય આપત્તિ પણ છે. કચરો સળગવાથી ડાયોક્સિન અને ફ્યુરાન જેવા ઝેરી વાયુઓ હવામાં ભળે છે, જે કેન્સર જેવી બીમારીઓ માટે જવાબદાર હોઈ શકે છે. વેસુ, મગદલ્લા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકો આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 9:00 pm

લૂંટના કુખ્યાત ઈનામી બે આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યા:સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે લઇ છેતરપિંડી આચરતો અમીર વોરા પાસામાં ધકેલાયો, બાઈક સ્લીપ થતા બે બહેનના એકના એક ભાઈનું મોત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટમાં કુખ્યાત શખ્સો વિરુધ્ધ પાસા કરવાની શરૂઆત થઇ ચુકી છે. જેમાં આણંદના સોજીત્રા તાલુકાના વતની આમિર અસલમભાઈ વોરા (ઉ.વ.32) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજૂરી આપી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી કરી આરોપી આમીર વોરાને પાસા હેઠળ જામનગર જેલહવાલે કર્યો છે. સેલ્ફ ડ્રાઈવથી કાર ભાડે મેળવી વાહન બરોબર વેચી દઇ છેતરપિંડી આચરવાના ગુનાઓમાં માસ્ટર આમિર સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ માલવિયાનગર, તાલુકા, પોલીસ સ્ટેશન તેમજ ખેડા વડોદરા અમદાવાદ ગ્રામ્યના બાવળા અને સોજીત્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. બાઈક સ્લીપ થતા બે બહેનના એકના એક ભાઈનું મોત જગદીશ કેશવભાઈ બામણીયા (ઉં.વ.28) ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ વાડીએથી ગામમાં દૂધ લેવા જતો હતો દરમિયાન વાડી વિસ્તારના રસ્તા પર અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી જગદીશને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જગદીશ મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને ઢોકળીયા ગામે મગનભાઈની વાડીએ રહી ખેતી મજૂરી કરતો હતો. તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જામનગરની લૂંટના કુખ્યાત ઈનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો જામનગર પોલીસ અધિક્ષક દ્રારા નાસ્તા ફરતા આરોપીઓ પર ઇનામ જાહેર કર્યું હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા ટિમ તપાસમાં હતી દરમિયાન રાજકોટ રેન્જના પીઆઈ રોહન બારની ટીમે હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી ચોક્કસ બાતમીના આધારે જામનગરના પંચચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રૂ.8.50 લાખની લૂંટના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રૂ.10 હજારનો ઇનામી આરોપી ભુવાનસીંગ રાયસીંગ વસુનીયાને દાહોદ હાઇવે રાબડાલ બસસ્ટેશન નજીકથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લુંટના ગુન્હામાં 16 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો રાજકોટ રેન્જના જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પૈકી 29 આરોપીઓને ઝડપી પાડવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના પીઆઇ રોહન બારની ટિમ તપાસમાં હતી દરમિયાન હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ મદદથી મળેલ બાતમી આધારે રૂ.8000ના ઇનામી મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના અતી ચકચારી એસ.ટી.બસમાં બેઠેલ આંગળીયા કર્મચારીઓના અંદાજે એક કરોડ જેટલા મુદ્દામાલના થેલાઓની લુંટ કેસમાં છેલ્લા 16 વર્ષથી નાસતા-ફરતા અને તાજીયા ગેંગના સાગ્રીત આરોપી રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ ચૌહાણ બીહારથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મોરબી જિલ્લાના ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે. પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત મીનાબેન ઉર્ફે મુકતાબેન કેશુભાઇ હરણેશા (ઉ.વ.54) ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોને જાણ થતા ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતા મીનાબેનને નીચે ઉતારી 108માં ફોન કર્યો હતો. 108ના ઇએમટી પુનમબેન પુરોહીતે સ્થળ ઉપર જ જોઈ તપાસીને મીનાબેનને મૃત જાહેર કર્યા હતા અને રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મીનાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું અને પતિ ફર્નિચરનું મિસ્ત્રી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આપઘાતના કારણથી પરિવાર અજાણ હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર ચોટીલાનો શખ્સ ઝડપાયો રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોડના પીઆઈ કે કે ગોહિલની ટિમ તપાસમાં હતી દરમિયાન તા.27.10.2024ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને અપરણના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી વહતાભાઈ વસાભાઈ શિયાળીયા (ઉ.વ.55)ને ચોટીલા ખાતેથી પકડી પાડી માલવિયાનગર પોલીસના સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામનાથપરામાં મુંબઈથી આવેલા બંગાળી કારીગરે ઝેરી દવા પીધી અબ્દુલ અલી શેખ (ઉં.વ.27) ગઈકાલે સાંજે 5 વાગ્યે પોતાના મોટાભાઈ દાનિશના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. દાનિશ રાજકોટમાં ઘરેણાં ઘડવાનું કામ કરે છે. તેઓ મૂળ પશ્ચિમ બંગાળ કોલકાતાના વતની છે. તેનો ભાઈ અબ્દુલ મુંબઈમાં રહેતો અને ત્યાં કામ કરતો હતો. અબ્દુલે થોડા દિવસ પહેલા દાનિશને ફોન કરી રાજકોટ રોકાવવા આવે છે તેવી જાણ કરી હતી અને ત્રણ દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો. ગઈકાલે કોઈ સાથે રાજકોટમાં ફરવા જવાનું કહી રહ્યો હતો જો કે ફરવા જાય એ પહેલા આ પગલું ભરી લીધું હતું જો કે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તેની જાણ ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:58 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:પોરબંદર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. પોરબંદર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:41 pm

મેમનગર તળાવની બાજુના આનંદ પાર્કમાં 6 આરોપીઓ સટ્ટો રમતા ઝડપાયા:મોટા ગજાના બુકીઓએ મેચની આઈડી યુવકોને આપી હતી

અમદાવાદના મેમનગર તળાવ પાસે આવેલા આનંદ પાર્કમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને ક્રિકેટ સટ્ટો રમી રહેલા 6 શખસની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, મોટા ગજાના બુકીઓએ આ યુવકોને મેચની આઈડી આપી હતી, જેના આધારે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી સટ્ટાના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મેમનગરમાંથી ક્રિકેટ સટ્ટો રમતાં 6 શખસ ઝડપાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઇ એસ.જે જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, મેમનગર તળાવની બાજુમાં આવેલા આનંદ પાર્ક એપાર્ટમેન્ટના મકાન નંબર ડી/2માં કપિલ ઉર્ફે ચિરાગ અને અભય ઠક્કર કેટલાક સાગરીતોને ભેગા કરીને આઈપીએલ પર જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા અને 6 યુવકો બેઠા હતા. તમામ યુવકો પાસે સંખ્યાબંધ મોબાઈલ હતા. તમામના હાથમાં રહેલા મોબાઈલ ચાલુ હતા. ક્રાઈમ બ્રાંચે કપીલ ઉર્ફે ચિરાગ ઠક્કર, અભય ઠક્કર, યશ અખાણી, મીત જયસ્વાલ, ધ્રુવ ઠક્કરની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતીચિરાગ પાસેથી ક્રાઈમ બ્રાંચે ચાર મોબાઈલ જપ્ત કર્યા છે. જ્યારે અભય પાસેથી પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. યશ પાસેથી બે મોબાઈલ ફોન, મીત પાસેથી ત્રણ મોબાઈલ અને કલ્પેશ અને ધ્રુવ પાસેથી એક એક મોબાઈલ જપ્ત કર્યો છે. ગઈકાલે ચેન્નાઈ સુપરકીંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા હતા. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યુ હતું કે, સાયન્સ સીટીમાં રહેતા કિશન ઠક્કર, પાટણમાં રહેતા રોનક ઠક્કરસ, દિપક ઠક્કરસ, આકાશ લાલવાણી, કિશન ઠક્કર, જીતુ, ઝમકુ પાસેથી આઈડી ખરીદી હતી. ક્રાઈમ બ્રાંચે સટ્ટોડીયા અને બુકીની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. ક્રાઈમ બ્રાંચે કુલ 13 આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. બીજા બનાવમાં ગોટીલા ગાર્ડન પાસેથી સટ્ટો રમતા એક યુવક ઝડપાયોઆ સિવાય બોડકદેવ પોલીસે પણ સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસેથી સટ્ટો રમતા એક યુવકની ધરપકડ કરી છે. ગઈકાલે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક યુવક કાર લઈને આવી રહ્યો હતો. પોલીસ કાર રોકીને ચેંકીગ કરી રહ્યા હતા ત્યારે સામે આવ્યુ હતું એક યુવક મોબાઈલમાં આઈપીએલ પર સટ્ટો રમી રહ્યો હતો. બોડકદેવ પોલીસે દુશ્યંત શર્માની ધરપકડ કરી છે. ગઈકાલની આઈપીએલ પર સટ્ટો રમી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:41 pm

આણંદ પોલીસે 2 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલ્યો:તારાપુરનો શખ્સ ચોરીના વાહન સાથે ઝડપાયો

આણંદ શહેરમાં વાહન ચોરીના વધતા બનાવોને રોકવા માટે ટાઉન પોલીસ સક્રિય બની હતી. પોલીસે સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે અલગ-અલગ એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ શાખાની મદદ લીધી હતી. આ તપાસ દરમિયાન પો.કો. તીર્થરાજસિંહ અને રૂદ્રપાલસિંહને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તારાપુરના મહિયારીના મોટાભાગ ખાતે રહેતા રામદેવસિંહ લાલુભા ચૌહાણને ચોરીના બે એક્ટિવા વાહન સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ બંને વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હોન્ડા એક્ટિવા (GJ-23-DR-3001), જેની અંદાજિત કિંમત ₹63,000/- છે, અને બીજી હોન્ડા એક્ટિવા (GJ-23-BN-7925), જેની અંદાજિત કિંમત ₹35,000/- છે, તે જપ્ત કરી છે. આ કામગીરીથી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે મહત્વના વાહન ચોરીના ગુનાઓ ઉકેલાઈ ગયા છે. આ બંને ગુનાઓ બી.એન.એસ.ની કલમ 303 (2) મુજબ નોંધાયેલા હતા. આ સફળ ઓપરેશનમાં પી.આઈ. વી.ડી. ઝાલા, પી.આઈ. એન. બી. ડોડિયા, દક્ષેશકુમાર, જયદીપસિંહ, તીર્થરાજસિંહ, ઇન્દ્રજીતસિંહ, રૂદ્રપાલસિંહ સહિતના જવાનો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:39 pm

મહેસાણાની જમીન સંપાદન અધિકારીની કચેરી સીલ કરી સામાન જપ્ત કરાયો:ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવાતા કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું'તું

નર્મદા યોજના માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર મામલે તંત્રની ઉદાસીનતા સામે કડી સિવિલ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવાતા કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું હતું.જેના પગલે આજે ખેડૂતોએ સરકારી કચેરીનો સામાન જપ્ત કરી ઓફિસને સીલ મારી દીધું હતું. કોર્ટે મિલકત જપ્તીનું વોરંટ બહાર પાડ્યું હતુંઅરજદાર સોલંકી સેંધાજી પ્રતાપજી અને અન્ય ખેડૂતોની જમીન નર્મદા કેનાલ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવી હતી.આ અંગેના લેન્ડ એક્વિઝિશન રેફરન્સ (LAR) કેસ નં. 17/2015 થી 26/2015 સંદર્ભે ખેડૂતોને વળતર ચૂકવવાનો આદેશ થયો હતો. આમ છતાં લાંબા સમય વીતી જવા છતાં વળતરની રકમ ન મળતા ખેડૂતોએ કાયદાકીય લડત ચાલુ રાખી હતી.અંતે કડીની સિવિલ કોર્ટે નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ કુલ રૂ 4,30,327 ની વસૂલાત માટે જંગમ મિલકત જપ્તીનું વોરંટ બહાર પાડ્યું હતું. કચેરીને સીલ પણ મારીને સામાન જપ્ત કરાયોકોર્ટના આદેશ બાદ આજે ખેડૂતો કોર્ટના બેલીફ સાથે મહેસાણા સ્થિત જમીન સંપાદન અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ કચેરીમાં પડેલા ખુરશી, ટેબલ અને અન્ય વસ્તુ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આટલું જ નહીં વસૂલાતની પ્રક્રિયાના ભાગરૂપે ખેડૂતોએ કચેરીને સીલ પણ મારી દીધું હતું. કોર્ટની કાર્યવાહીથી વહીવટી આલમમાં ફફડાટસરકારી તંત્ર દ્વારા ખેડૂતોના હકનું વળતર ચૂકવવામાં કરવામાં આવતા વિલંબ સામે કોર્ટની આ કાર્યવાહીએ વહીવટી આલમમાં ફફડાટ મચાવી દીધો છે. પોતાની જ જમીન ગુમાવ્યા બાદ વળતર માટે વર્ષો સુધી રાહ જોતા ખેડૂતોએ આજે કાયદાના સહારે તંત્રને જડબાતોડ જવાબ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:35 pm

વાપીના 6 વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી અંત:મનપા દ્વારા નવી ટાંકીઓ અને પાઈપલાઈનનું કામ યુદ્ધના ધોરણે

વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના 6 વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. ચણોદ, કરવડ, છીરી અને ડુંગરા સહિતના વિસ્તારોમાં કરોડોના ખર્ચે નવી પાણીની ટાંકીઓ અને પાઈપલાઈન નાખવાનું કામ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ દ્વારા જૂની પાઈપલાઈનો બદલીને આધુનિક DI પાઈપલાઈનનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી લીકેજ અને ઓછા પ્રેશરની સમસ્યા દૂર થશે. આગામી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે વહીવટી તંત્ર દ્વારા શહેરના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, મનપાએ પીવાના પાણીની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ વોટર સપ્લાય સ્કીમ હેઠળ કામગીરી તેજ કરી છે. આ યોજના હેઠળ, ચણોદ-ચમોલાઈ વિસ્તારમાં 30 લાખ લિટરની ઊંચી ટાંકી અને 55 લાખ લિટરની ભૂગર્ભ ટાંકીનું કામ પ્રગતિમાં છે. કરવડમાં 10 લાખ લિટરની બે ઊંચી ટાંકીઓ અને 50 લાખ લિટરની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. છીરી-છરવાડામાં 20 લાખ લિટરની બે ઊંચી ટાંકીઓ અને 52 કિલોમીટર લાંબી નેટવર્ક લાઈન પ્રગતિ હેઠળ છે. નામધા-ચાંદોરમાં 10 લાખ લિટરની ટાંકી અને 3.5 કિલોમીટર નવી પાઈપલાઈનનો ફેઝ-1 કાર્યરત છે, જ્યારે કુંતા-વટાર-મોરાઈમાં 10 લાખ લિટરની એક અને 5 લાખ લિટરની બે ઊંચી ટાંકીઓ માટે ફેઝ-1 ની કામગીરી ચાલી રહી છે. મનપા દ્વારા શહેરભરમાં જૂની AC પ્રેશર, PVC અને HDPE પાઈપલાઈનના સ્થાને મજબૂત લોખંડની D.I. (Ductile Iron) પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. આનાથી પાણીના લીકેજ અને ઓછા પ્રેશર જેવી સમસ્યાઓ ભૂતકાળ બનશે. ખાસ કરીને ડુંગરા વિસ્તારમાં સેલવાસ રોડ પર વારંવાર પાઈપલાઈન ભંગાણને કારણે થતો પાણીનો બગાડ હવે કાયમી ધોરણે અટકશે. નવી લાઈનો નાગરિકોને પૂરતા પ્રેશર સાથે શુદ્ધ પાણી પૂરું પાડશે. મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલાં, મનપાએ પાણીના જટિલ પ્રશ્નને હલ કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 17 કિલોમીટરથી વધુ લાંબી નવી પાઈપલાઈનો માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે, જે આગામી સમયમાં વાપીના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:33 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:મોરબી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. મોરબી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:30 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:ભુજ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. ભુજ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:27 pm

રિબેટ મેળવવા કરદાતાઓનો ભારે ઉત્સાહ:ભાવેણાવાસીઓએ માત્ર 48 કલાકમાં 11,000 નાગરિકોએ ટેક્સ ભરી મનપાની તિજોરીમાં રૂ. 6.45 કરોડ ઠાલવ્યા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેના એપ્રિલ મહિનામાં રિબેટ યોજના ની શરૂઆત થાય છે જેમાં કરદાતાઓએ બે દિવસમાં ભારે ઉત્સાહ દાખવતા મનપાની આવકમાં વધારો થયો હતો અને બે દિવસમાં 6 કરોડથી વધુ ની આવક પ્રાપ્ત થઈ હતી, મનપા ના ઘરવેરા વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે ​એક જ દિવસની આવકમાં 4930 કરદાતાઓએ ઓનલાઈન અને ઓફલાઇન પોતાનો ઘરવેરો ભરપાઈ કર્યો હતો, જેનાથી મનપાને એક જ દિવસમાં 2.55 કરોડ રૂપિયાની આવક થઈ છે, અને નવા નાણાકીય વર્ષની શરૂઆતના બે દિવસમાં કુલ આવકનો આંકડો 6.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, ​ઓનલાઇન પેમેન્ટનો ક્રેઝ વધારે બે દિવસ દરમ્યાન કુલ 11,751 કરદાતાઓએ વેરો ભર્યો છે, જેમાંથી 8227 કરદાતાઓએ ઓનલાઇન થી કારવેરો ભરપાઈ કર્યો હતો જ્યારે 3524 કરદાતાઓએ ઓફલાઇન વેરો ભર્યો હતો,​મનપા દ્વારા એપ્રિલ માસમાં વેરો ભરનાર નાગરિકો માટે દર વર્ષે રિબેટ જાહેર કરવામાં આવે છે જેમાં એપ્રિલ માસમાં ઘરવેરો અને સફાઈ વેરો ભરનાર તમામ કરદાતાઓને 10 ટકા રિબેટ તથા જો વેરો ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ દ્વારા ભરવામાં આવે, તો વધારાનું 2 ટકા રિબેટ મળશે. આમ, કરદાતાઓ કુલ 12 ટકા સુધીની બચત કરી શકે છે, ​રજાના દિવસોમાં પણ બારીઓ ખુલ્લી રહેશે ​નાગરિકોની સુવિધા માટે ભાવનગર મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સમગ્ર એપ્રિલ માસ દરમિયાન શનિવાર, રવિવાર સહિતની તમામ જાહેર રજાઓમાં પણ વેરા સ્વીકારવા માટેની કેશ બારીઓ જુદા જુદા સ્થળોએ કાર્યરત રહેશે જેમાં ​મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ​પૂર્વ ઝોનલ કચેરી- તરસમિયા રોડ તથા ​પશ્ચિમ ઝોનલ કચેરી આખલોલ જકાતનાકા ખાતે કરદાતાઓ રજાના દિવસોમાં પણ વેરો ભરી શકશે. ​કરદાતાઓ મનપાની વેબસાઇટ www.bmcgujarat.com, મોબાઈલ એપ્લિકેશન અથવા કચેરી ખાતે POS મશીન દ્વારા ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પણ વેરો ભરી શકશે. મનપા તંત્ર દ્વારા વધુમાં વધુ નાગરિકોને વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:25 pm

ગુજરાત હાઇકોર્ટમાં AIના ઉપયોગ અંગે નીતિ જાહેર:'AI માત્ર એક સહાયક સાધન ઉપયોગ પરંતુ ન્યાયિક અને વિવેકબુદ્ધિ સર્વોપરી, ન્યાયિક નિર્ણયો લેવા ઉપયોગ નહીં'

ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક અને વહીવટી પ્રક્રિયામાં AIના ઉપયોગને લઈને એક પોલિસી બહાર પાડી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, પરંતુ સાથે સાથે ન્યાયિક સ્વતંત્રતા અને માનવીય વિવેકબુદ્ધિની સર્વોપરિતા જાળવી રાખવાનો છે. ન્યાય વિતરણમાં AI માત્ર એક સહાયક સાધન તરીકે રહેશે, ન્યાયાધીશના વિકલ્પ તરીકે નહીં. ભાષા સુધારવા અને વ્યાકરણની ભૂલો સુધારવા AIનો ઉપયોગ કરી શકાશેAIનો ઉપયોગ કેસોનું વિતરણ, આંકડાકીય અહેવાલો તૈયાર કરવા અને આંતરિક તાલીમ માટે પ્રેઝન્ટેશન બનાવવા, ચુકાદાઓ શોધવા, કાયદાકીય સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવું અને સંદર્ભો મેળવવા, દસ્તાવેજોનું મશીન દ્વારા ભાષાંતર અને સુનવણીનું લખાણ તૈયાર કરવા કરી શકશે, જો કે તેની માનવીય ચકાસણી અનિવાર્ય છે. AIથી મુસદ્દાની ભાષા સુધારવા અને વ્યાકરણની ભૂલો સુધારવા માટે ઉપયોગ કરી શકાય છે. ગોપનીય વિગતો પબ્લિક AI સાધનોમાં નાખી શકાશે નહીંજો કે જામીન, સજા કે ચુકાદા અંગેના ન્યાયિક નિર્ણયો લેવા માટે AIનો ઉપયોગ કરી શકાશે નહીં. પુરાવાઓનું વર્ગીકરણ, તેની વિશ્વસનીયતા તપાસવી કે સાક્ષીઓની જુબાનીનો સારાંશ બનાવવા પર પ્રતિબંધ છે. પક્ષકારો કે સાક્ષીઓના નામ, સરનામાં અથવા પેન્ડિંગ કેસની ગોપનીય વિગતો પબ્લિક AI સાધનોમાં નાખી શકાશે નહીં. AI દ્વારા આપવામાં આવેલા કેસ લો કે કાયદાના સંદર્ભોને સત્તાવાર સ્ત્રોત થી ચકાસ્યા વગર વાપરી શકાશે નહીં. AIની ભૂલને બચાવ તરીકે રજૂ કરી શકાશે નહીંદરેક ન્યાયાધીશ અને કોર્ટ અધિકારી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા આદેશો અને ચુકાદાઓ માટે અંગત રીતે જવાબદાર રહેશે. AIની ભૂલને બચાવ તરીકે રજૂ કરી શકાશે નહીં. AI દ્વારા તૈયાર કરાયેલ કોઈપણ સામગ્રીને ઉપયોગમાં લેતા પહેલા જવાબદાર અધિકારીએ તેની સમીક્ષા અને પ્રમાણિત કરવી ફરજિયાત છે. AI માત્ર સહાયક સાધન, ન્યાય આપવાનો અધિકાર અને જવાબદારી માત્ર ન્યાયાધીશ પાસે જ રહેશેઆ નીતિના કોઈપણ નિયમનું ઉલ્લંઘન 'ગેરવર્તણૂક' ગણાશે અને તેના પર શિસ્તભંગના સહિતના પગલાં લેવામાં આવશે. AIનો ઉપયોગ Digital Personal Data Protection Act, 2023 અને અન્ય IT કાયદાઓ મુજબ કરવાનો રહેશે. યુઝર્સે AI ના ફાયદા અને મર્યાદાઓ સમજવા માટે ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા તાલીમ મેળવવી જરૂરી છે. AI માત્ર સહાયક સાધન છે. ન્યાય આપવાનો અધિકાર અને જવાબદારી માત્ર ન્યાયાધીશ પાસે જ રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:22 pm

ગઢડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસની ફ્લેગ માર્ચ:કાયદો વ્યવસ્થા જાળવવા DYSP સહિતના કાફલાએ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું

ગઢડા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. આ ફ્લેગ માર્ચ શહેરના હાઈસ્કુલ ચાર રસ્તા, બોટાદના ઝાંપે, વિંછીયા પરા, ટાવર રોડ, નવી કાપડ બજાર, સામાકાંઠા અને રાબીયા પાર્ક સહિતના વિસ્તારોમાં યોજવામાં આવી હતી. બોટાદ DYSP, PI, PSI, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો આ માર્ચમાં જોડાયો હતો. બોટાદના DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:21 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:20 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:19 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:18 pm

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું 26 એપ્રિલે મતદાન:રાજ્યમાં આચાર સંહિતા લાગુ, મતગણતરી 28 એપ્રિલે

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન થશે અને ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ જાહેરાત સાથે જ સંબંધિત વિસ્તારોમાં ૦૧ એપ્રિલ, ૨૦૨૬થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. મતદારોની આખરી યાદી પણ ૦૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ૦૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ૨૦૨૬ છે, જ્યારે ૧૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. મતદાન ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. આ ચૂંટણીઓમાં રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૫૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૧૧ નગરપાલિકાઓની ખાલી પડેલી ૧૩ બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે. પોરબંદર જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. જિલ્લાની પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતોમાં કુલ ૨૮૭ મતદાન મથકો પર ૨,૩૪,૯૧૦ મતદારો નોંધાયેલા છે. પોરબંદર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડમાં ૧૯૧ મતદાન મથકો પર ૧,૬૬,૮૭૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૬માં પણ પેટા ચૂંટણી યોજાશે. આચાર સંહિતાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ચૂંટણી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કે રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા કોઈ નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે મતદારોને લોભાવતી જાહેરાતો કરી શકાશે નહીં. આ નિયમોનું પાલન ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પરિણામની જાહેરાત થાય ત્યાં સુધી ફરજિયાત રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:16 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:16 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:15 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:14 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:13 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:13 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:12 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:જુનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. જુનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:11 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:11 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:10 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:09 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 8:08 pm