શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જ્વેલર્સ સર્કલ પાસે આવેલી સરદાર પટેલ સોસાયટી-1માં એક પરિવાર માત્ર પોણા બે કલાક માટે જમણવારમાં ગયો અને તસ્કરોએ ઘરનો નકુચો તોડી ₹1,97,709 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની વિગતો: ક્યારે અને કેવી રીતે બની ચોરી?સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ઉષાબેન જોષીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 7 એપ્રિલના રોજ તેમના પતિ નોકરી પર હતા. બપોરે 12.15 કલાકે ઉષાબેન તેમના પુત્ર અને દિયરની દીકરી સાથે રેલવે ટર્મિનસ પાસે વાડીમાં જમવા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનના મેઈન દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને કબાટમાં રાખેલો સામાન વેરવિખેર કરી દાગીના ચોરી નાસી છૂટ્યા હતા. શું-શું ચોરાયું?તસ્કરો કબાટમાંથી સોનાની બે ચેઈન, બે ચુડી, પોંચી, પાંચ ચુક, કાનની સર, ઓમકાર, પેંડલ અને વીંટી. તો ચાંદીના 4 જોડ છડા, 3 પોંચી, મંગળસૂત્ર, ગાય, 2 કંદોરા અને જાંજરી મળી કુલ ₹1,97,709ના દાગીનાની ઉઠાવી ગયા હતાં. પોલીસ કાર્યવાહીતસ્કરોએ પરિવારની અવરજવર પર અગાઉથી વોચ રાખી હોવાની શક્યતા છે, કારણ કે માત્ર 1 કલાક અને 45 મિનિટના ટૂંકા ગાળામાં જ મકાન શોધીને ચોરીને અંજામ અપાયો છે. બપોરે 2 વાગ્યે પરિવાર પરત ફરતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. આ મામલે બોરતળાવ પોલીસે અજાણ્યા શખ્સો સામે BNS એક્ટ 305(A), 331(3) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં નકલી દસ્તાવેજોથી પાસપોર્ટ કૌભાંડ:બે ભાઈઓની ધરપકડ, પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો પ્રયાસ
વલસાડમાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ સિટી પોલીસ અને SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી તપાસમાં બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આ ભાઈઓએ નકલી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો બનાવી સુરત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. તેમનો હેતુ પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા ભાવિક સંદીપ ફાક્વિર અને પ્રજ્ઞેશકુમાર સંદીપ ફાક્વિર નામના બે ભાઈઓએ વિદેશ જવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમની સામે અગાઉ ગુનાહિત ઇતિહાસ હોવાથી તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળવો મુશ્કેલ હતો. આથી, તેઓએ યુકે (UK) ના વિઝા મેળવવા માટે આ ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, જો કોઈ વ્યક્તિના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હોય, તો તેમને યુકેના વિઝા સરળતાથી મળી શકે છે. આ બંને ભાઈઓના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હતા, પરંતુ તેમના ગુનાહિત ઇતિહાસને કારણે તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળી શકતો નહોતો. આથી, તેઓએ વલસાડ નગરપાલિકાના નકલી જન્મના દાખલા બનાવ્યા અને તેના આધારે આધાર કાર્ડ તથા પાનકાર્ડમાં સુધારા કરાવી નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. જ્યારે પાસપોર્ટ અરજી વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે આવી, ત્યારે પોલીસને શંકા ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે, નગરપાલિકામાં જે નંબરના જન્મ પ્રમાણપત્રો રજૂ કરાયા હતા, તેવા કોઈ રેકોર્ડ અસ્તિત્વમાં નહોતા. એસઓજી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. વલસાડ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 336(2), 336(3), 337, 338, 339, 340(2), 61(2) અને ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967ની કલમ 12(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડીવાયએસપી (DySP) એ.કે. વર્માએ જણાવ્યું કે, આ કેસમાં અન્ય કોઈ એજન્ટ કે સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચાલી રહી છે.
વેરાવળમાં રાજકીય ભાષણો બન્યા વિવાદનું કેન્દ્ર:સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે પોલીસ કાર્યવાહીની માંગ કરી
વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા છે. ઉશ્કેરણીજનક અને અશોભનીય ભાષાના ઉપયોગથી શહેરની શાંતિ જોખમાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરતા સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે આ મામલે સક્રિયતા દાખવી છે. સમાજના પ્રમુખ અને પૂર્વ નગરસેવક અફઝલ પંજા સહિતના આગેવાનોએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા પર જાહેર ભાષણોમાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે. આગેવાનોએ જણાવ્યું કે વેરાવળ શહેર હંમેશા શાંતિ અને સહઅસ્તિત્વ માટે જાણીતું છે. જોકે, અમુક રાજકીય વ્યક્તિઓ દ્વારા સ્વાર્થ ખાતર કરવામાં આવતા 'વાણી વિલાસ'થી સમાજમાં વેરઝેર ફેલાઈ શકે છે. આનાથી ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. ફરિયાદમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને સંબંધિત વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે. જો આવા કૃત્યોને રોકવામાં નહીં આવે તો નિર્દોષ નાગરિકોને તેનો ભોગ બનવું પડી શકે છે. આ વિવાદ અંગે વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીએ જણાવ્યું કે, મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લેખિત ફરિયાદ મળી છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે અને જો કોઈ વાંધાજનક બાબત સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય ગરમાવા વચ્ચે આવી ઘટનાઓ શાંતિપૂર્ણ અને સ્વસ્થ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. શહેરની શાંતિ જાળવવાની જવાબદારી પોલીસ તંત્રની હોવાથી, આ મામલે તેમની કાર્યવાહી પર સૌની નજર રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આચાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પણ અલગ અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. લોકસંપર્ક રાઉન્ડ માટે આવ્યા છે એવું કહેતા માર માર્યો અને ગાળા ગાળી થઈ હતી. આ મામલે ભાજપના કાર્યકરે હસમુખ વોરા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાજપના ઉમેદવારો લોકસંપર્ક રાઉન્ડમાં ગયા ને સ્થાનિકોમા રોષ જોવા મળ્યોમળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં ઇન્ડિયા કોલોની વોર્ડના ચારે ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે લોકસંપર્ક રાઉન્ડ કરી રહ્યાં છે. ત્યારે તેમની સાથે નરોડા રોડ વિસ્તારમાં બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તા ધીરજભાઈ રાઠોડ પણ ચારેય ઉમેદવારો સાથે લોક સંપર્ક રાઉન્ડમાં જોડાયા હતાં. ચૂંટણી પ્રચાર માટે લક્ષ્મીપુરાની ચાલી અને અશોક મિલની નવી ચાલીની આજુબાજુના વિસ્તારોમાં લોક સંપર્કો રાઉન્ડ માટે ગયા હતાં. કોલર પકડીને ભાજપના કાર્યકરને લાફો મારી દીધોઅશોક મિલની નવી ચાલી પાસે ભાજપના કાર્યકર્તાઓ અને ચારેય ઉમેદવારો ગયા હતા, ત્યારે ચાલીના નાકે હસમુખભાઈ વોરા ઉર્ફે કાળુ ગુલાબી ઊભો હતો. હસમુખભાઈએ કહ્યું હતું, તમારે ભાજપવાળા અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં તમે લોકો અહીંયાથી જતા રહો. જેથી ધીરજભાઈએ કહ્યું હતું કે, અમે અહીંયા લોક સંપર્ક રાઉન્ડ માટે આવ્યા છીએ, જે લોક સંપન્ન રાઉન્ડ પૂરો કરી જતા રહીશું. જેથી હસમુખભાઈએ ઉશ્કેરાઈ અને ધીરજભાઈને ગાળા ગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા હસમુખભાઈએ કોલર પકડી અને ભાજપના કાર્યકર એવા ધીરજ પ્રજાપતિને લાફો મારી દીધો હતો. ભાજપના કાર્યકરે ફરિયાદ નોંધાવીહસમુખભાઈએ ધમકી આપી હતી કે, હવે પછી અહીંયા ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું. જેથી ભાજપના કાર્યકરો અને ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા હતાં. ભાજપના કાર્યકરને પ્રચારમાં માર મારવામાં આવતા પાર્ટીમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકરે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હસમુખ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા અને ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો સૂત્રો પાસેથી મળતી માહિતી, મુજબ ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ પ્રકાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. ત્યારે અશોક મિલની નવી ચાલી પાસે પણ જ્યારે ભાજપના ઉમેદવારો લોક સંપર્ક રાઉન્ડમાં ગયા હતા ત્યારે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈપોલીસ ફરિયાદ મુજબ માત્ર એક જ ભાજપના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે પ્રચારમાં ગયા ત્યારે ભાજપના ઉમેદવારના ભાઈને અને અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના પ્રચારમાં થઈ રહેલા વિરોધને લઈને સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજે 21 એપ્રિલથી પ્રારંભ થયો છે. જેમાં 125 પરીક્ષા કેન્દ્ર પરથી 51836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં 95 પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે ઉનાળુ વેકેશન બાદ પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવી પડી હતી જોકે આ વખતે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે. ચૂંટણીના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ત્રણ દિવસની રજા મળશે અને તેથી 30 એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે. વિદ્યાર્થિની રશ્મિ રાવલે જણાવ્યું હતું કે, હું કણસાગરા કોલેજમાં એફ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરું છું. વખતે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી થઈ છે ગત વર્ષે ઉનાળુ વેકેશન પછી પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં પરીક્ષાની ચિંતા હતી પરંતુ આ વર્ષે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવી રહી છે જેથી ખૂબ જ આનંદ સાથે પરીક્ષા આપી રહ્યા છીએ. ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા છે. જ્યારે અન્ય વિદ્યાર્થિની જાનવી વિરડીયાએ જણાવ્યું હતું કે, હું FY બી.કોમ.માં અભ્યાસ કરું છું. પરીક્ષાની તૈયારી સારી થઈ છે. ગ્રેજ્યુએશન પછી સારી જોબ મેળવવાનું સ્વપ્ન છે. વેકેશન પહેલા પરીક્ષા લેવાઈ રહી છે તે ખૂબ જ સારું છે અને તેનાથી આખું વેકેશન પરીક્ષાની ચિંતા તો ન રહે. કણસાગરા કોલેજના 235 વિદ્યાર્થિની બી.કોમ. સેમેસ્ટર-2 ની પરીક્ષા આપી રહી છે. CCTV અને ચુસ્ત સુપરવિઝન હેઠળ આ પરીક્ષા લેવામાં આવી રહી છે. યુનિવર્સિટીમાં આજે 21 એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સેમેસ્ટર -2 માં બી.એ.માં 17948 તો બી.કોમ.માં 16595 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે બી.સી.એ.માં 5990, બી.બી.એ.માં 5295, બીએસ.સી.માં 1861 અને એમ.એ.માં 1024 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 25 કોર્સની પરીક્ષા શરૂ થઈ છે. જે 30 એપ્રિલ સુધી ચાલશે કારણકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે તા.25,26 અને 27 એપ્રિલના રજા રાખવામાં આવી છે.
પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે ગત રાત્રિએ કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રેક્ટરે કારને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પાવીજેતપુરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા રાકેશ જીવન સોલંકી (55) તારીખ 20ની રાત્રિએ પોતાની કાર લઈને પાવીજેતપુર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સુસ્કાલ ગામ પાસે સામેથી આવતા એક અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ અને કરુણ મોતઅકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં રાકેશ સોલંકીને ડાબા પગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ કાર્યવાહીઘટના અંગે જાણ થતાં પાવીજેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. દાંડિયા બજારના રહીશના આકસ્મિક અવસાનને પગલે સ્થાનિક પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના એક મહિલા ઉમેદવાર વચ્ચે શાબ્દિક ચકમક થઈ હતી. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ચારેય ઉમેદવારો તેમના મતવિસ્તારમાં પ્રચાર અને મત માંગણી માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ભાજપના એક મહિલા ઉમેદવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મત માંગણી દરમિયાન બંને પક્ષો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. મહિલા ઉમેદવારે કોંગ્રેસના કાર્યકરોને ત્યાંથી જવા માટે કહ્યું હતું, જેના પગલે શાબ્દિક બોલાચાલી થઈ હતી. થોડી ક્ષણો માટે મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ આ ઘટના અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે, ચૂંટણીના માહોલમાં આવી ઘટનાઓ તણાવ વધારી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. --- આ પણ વાંચો.. ‘તાકાત હોય તો બંદૂક લઈને આવો’:મોરબીમાં કાંતિ અમૃતિયાનો જવાબ ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. સંપૂર્ણ અહેવાલ વાંચો… ‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’ ગીર સોમનાથ જિલ્લાના આદ્રી વાવડી ગામે આદ્રી જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણી સભાએ જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાષણમાં કહ્યું કે ‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’. આક્ષેપથી સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રમક બન્યા હતા અને સામો સવાલ ઉઠાવ્યો હતો કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરો, ખબર પડે કે કોણ ચુપ બેસે છે. બંને સામસામે આવી જતાં આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. વિકાસના મુદ્દે શરૂ થયેલી આ લડાઈ હવે વ્યક્તિગત આક્ષેપો અને પક્ષની કામગીરી સુધી પહોંચી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાટડી અને ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ થાનગઢ તાલુકાના રૂટ નંબર 5માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવાનો હતો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી આ ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો નિર્ભય રીતે મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. પાટડી અને ચોટીલા ખાતેના નિદર્શનમાં નાગરિકોને EVM દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અને VVPAT મશીનમાં પોતાનો મત કયા ઉમેદવારને મળ્યો છે તેની ખાતરી કઈ રીતે કરવી તે અંગે પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી. આ જનજાગૃતિ અભિયાનનો ઉદ્દેશ્ય મતદાનની ટકાવારીમાં વધારો કરવો અને મતદારોમાં મશીન પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો છે. થાનગઢ તાલુકાના નિર્ધારિત રૂટ નંબર 5 પર ટેકનિકલ સ્ટાફ અને ચૂંટણી અધિકારીઓની ટીમે ગ્રામજનોને મશીનનો ઉપયોગ કરવાની સરળ રીત સમજાવી હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રક્રિયા અંગેની મૂંઝવણ દૂર કરવા માટે આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી સાબિત થયો. અનેક મતદારોએ ડમી વોટ આપીને મશીનની કાર્યપદ્ધતિ અને પારદર્શિતાની ખાતરી કરી હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક મત કિંમતી છે અને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા વોર્ડ સ્તરે અને ગ્રામ્ય સ્તરે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમો દરમિયાન આદર્શ આચારસંહિતાના નિયમો, ચૂંટણી પ્રક્રિયાની ગરિમા અને મતદાનના દિવસે રાખવાની સાવચેતીઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મહિલા આરક્ષણ બિલને લઇ હજુ પણ શાસક અને વિપક્ષ આમને સામને જોવા મળી રહી છે. ગઈકાલે ભજો બાદ આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પક્ષ હમેશા મહિલાઓના સન્માન સાથ કામ કરતી હોવાનું જણાવી આ બિલને તાત્કાલિક અસરથી આજે જ પાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેશનલ સેક્રેટરી સુભસીની યાદવે આક્ષેપ કરતા જણાવ્યું કે, મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો માટે વિરોધ કરવામાં આવ્યો છે. આજે જ કોઈ શરતો વગર બિલ પાસ કરવામાં આવે તો અમારું સમર્થન છે. સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કર્યા બાદ આ બિલ પસાર થવું જોઇએ પરંતુ આ વાતથી સરકાર સહમત નહિ થાય. મહિલા આરક્ષણ બિલને લઇ ગઈકાલે ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવમાં આવી હતી જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી સુભાસીની યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે આ બિલના સમર્થનમાં છીએ. વિપક્ષ ઇચ્છે છે સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરીને આ બિલ પસાર થવું જોઇએ. મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો. કોંગ્રેસે પંચાયતી રાજમાં મહિલા આરક્ષણ લાવી અને તેના કારણે આજે અનેક મહિલાઓ સ્થાનિક ચૂંટણીઓ લડીને સંસદ સુધી પહોંચી છે જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના એક માત્ર મહિલા સાંસદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે જેઓ પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા છે અને તે કોંગ્રેસ પક્ષમાંથી જ આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાસીની યાદવએ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાજપ જમીની હકિકતથી બહું દૂર રહે છે. આ સ્થાનિક ચૂંટણી છે જેમાં સ્થાનિક મુદ્દાઓની ચર્ચા થાય છે. લોકો રોડ રસ્તા, વરસાદી પાણી ભરાવા જેવા અનેક મુદ્દાઓથી ત્રસ્ત છે. લોકોમાં એક અંડરકરંટ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં અમેરિકા કે દિલ્લીની ચર્ચાઓ ન થાય પરંતુ સ્થાનિક ચર્ચાઓ થાય જેથી લોકો કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસનું પ્રદર્શન ખુબ સારું આવતી ચૂંટણીમાં જોવા મળશે.
સુરત શહેરમાં ઉનાળુ વેકેશનની શરૂઆત અને પરપ્રાંતિયોમાં વતન જવાની હોડ વચ્ચે આજે 21 એપ્રિલ મંગળવારે ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર માનવ મહેરામણ ઉમટ્યું હતું. શાળા-કોલેજોમાં રજાઓ અને રસોઈ ગેસની અછત જેવા કારણોસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના શ્રમિકોએ મોટી સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે. આજે એક જ દિવસમાં 4 વિશેષ ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરોને તેમના વતન મોકલવામાં આવ્યા હતાં. હોલ્ડિંગ એરિયામાં રાતથી જ જમાવડો, લાઈનબદ્ધ રીતે પ્રવેશગત રવિવારે(19 એપ્રિલ) થયેલી અફરાતફરી બાદ રેલવે તંત્ર સતર્ક જોવા મળ્યું હતું. મુસાફરો મંગલવાર રાતથી જ સ્ટેશન પર ધસી આવ્યા હોવાથી તેમને પ્લેટફોર્મ પર ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખવામાં આવ્યા હતાં. ટ્રેન આવવાના સમયે મુસાફરોને લાઈનબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે કોચ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રની આ વ્યૂહરચનાને કારણે આજે કોઈ મોટી દુર્ઘટના કે ધાંધલ-ધમાલ જોવા મળી નહોતી. ચાર ટ્રેનો હાઉસફૂલ, વેકેશન અને અછતનું બેવડું ભારણસુરતમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજાઓ પડી ગઈ છે, સાથે જ હીરા અને કાપડના કેટલાક એકમોમાં પણ રજાનો માહોલ છે. બીજી તરફ, યુદ્ધની વૈશ્વિક સ્થિતિને કારણે રાંધણગેસની અછત ઉભી થતા શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ પરિબળોને કારણે આજે યુપી અને બિહાર તરફ જતી ચારેય સ્પેશિયલ ટ્રેનો પેક(હાઉસફૂલ) થઈને રવાના થઈ હતી. RPF અને GRPનો ચુસ્ત બંદોબસ્તમુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ઉધના સ્ટેશન પર પોલીસનો કાફલો ખડેપગે રહ્યો હતો. RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) અને GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) ના જવાનોએ હોલ્ડિંગ એરિયાથી લઈને ટ્રેનના દરવાજા સુધી મોનિટરિંગ કર્યું હતું. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને ભીડનું સંચાલન કરતા નજરે પડ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને જોતા હજુ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે તેવી તૈયારીઓ છે. આ પણ વાંચો 19 એપ્રિલે પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વધુ એકવાર ભીડ અને અફરાતફરી મચી ગઈ હતી. ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરો 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ છે કે કાબૂમાં લેવામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારું ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું.અંત્યોદય ટ્રેન માટે 2-2 કિમીની લાંબી લાઈનો લાગી.ન માથે શેડ ન પીવાના પાણીની સુવિધા... ધોમધખતા તાપ વચ્ચે 16 -16 કલાકોથી મુસાફરો વતનની વાટે જવા ટ્રેનની રાહમાં છે..કોઈ પત્નીની અસ્થિઓ હાથમાં લઈને લાઈનમાં છે.. તો કોઈ આકરા તાપમાં બેભાન થયું..પીવાના પાણી માટી પડાપડી થઈ.. બાળકો- વૃદ્ધો સૌ પરેશાન.. આખરે કેમ રેલવે સ્ટેશન બન્યુ યુદ્ધનું મેદાન. (જુઓ વીડિયો) ઉધના રેલવે સ્ટેશને પર લાઠીચાર્જ થયાનો વેસ્ટર્ન રેલવેના GMનો ઇન્કાર સુરતના ઉધના રેલવે સ્ટેશને 19 એપ્રિલે શ્રમિકોની ભારે ભીડને કારણે મચેલી અફરાતફરીની ઘટનાને રેલવે તંત્રએ ગંભીરતાથી લીધી હતી જેથી સ્થિતિની સમીક્ષા કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે 20 એપ્રિલે ઉધના સ્ટેશને આવ્યા હતા. જનરલ મેનેજરે સ્ટેશનના પ્લેટફોર્મ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને પ્રતીક્ષા ખંડ સહિતના વિસ્તારોની વિગતવાર મુલાકાત લીધી હતી. તેમની સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાજર રહ્યો હતો. નિરીક્ષણ દરમિયાન તેમણે તે ચોક્કસ સ્થળોની તપાસ કરી હતી જ્યાં ભીડ બેકાબૂ બની હતી. જો કે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના ભાસ્કર પાસે વીડિયો હોવાછતાં તેમણે આ વાતનો ઇન્કાર કર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચા)
ભરૂચમાં મતદાન જાગૃતિ અભિયાન શરૂ:ગંધારમાં કામદારોને મતદાન માટે પ્રેરિત કરાયા
ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. લોકશાહીના આ પર્વમાં છેવાડાના માનવી સુધી જાગૃતિ ફેલાવવાનો હેતુ છે. આ અભિયાનના ભાગરૂપે, વાગરા તાલુકાના ગંધાર વિસ્તારમાં વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. દરિયાકાંઠાના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓએ સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અગરિયા ભાઈઓ-બહેનોને 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયામાં અનિવાર્યપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, કામદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત, ટીમ દ્વારા ગંધારના રહેણાંક વિસ્તારોમાં ઘર-ઘર જઈને મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા અને લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલ ડેર દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર વેગવંતો બન્યો છે. સોનલ ડેર ભાજપના મહિલા નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો સાથે 'જય ભાજપ વિકાસ'ની પત્રિકાઓનું ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોનલ ડેર લોકસાહિત્યકાર માયા આહીરની દીકરી છે. તેમના સસરા જીતુ ડેર પણ જિલ્લા ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે. આ બેઠક રાજકીય રીતે અમરેલી અને તળાજા-મહુવા વિસ્તારમાં ચર્ચાસ્પદ માનવામાં આવે છે. હાલ અહીં કોઈ મોટા નેતાઓની સભાઓ યોજાઈ નથી, પરંતુ ડોર-ટુ-ડોર પ્રચાર પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અમરેલીમાં પાનની દુકાન પર છરી હુમલો:CCTV ફૂટેજ વાઈરલ થયા બાદ પોલીસે ત્રણેય આરોપીને ઝડપ્યા
અમરેલી શહેરના બીનાકા ચોક વિસ્તારમાં આવેલી ડીલક્ષ પાનની દુકાન પર જાહેરમાં છરી વડે હુમલો કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી છરી પણ કબજે લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિરાજભાઈ મહેબૂબભાઈ કુરેશી ડીલક્ષ પાનની દુકાન પર બેઠા હતા ત્યારે આરોપીઓ એક્ટિવા લઈને આવ્યા અને દુકાન સાથે ભટકાવ્યું હતું. સિરાજભાઈએ તેમને ધ્યાનથી વાહન ચલાવવાનું કહેતા આરોપીઓને આ વાત પસંદ ન આવતા તેમણે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ સિરાજભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક્ટિવામાંથી છરી કાઢી પાછળથી ત્રણ ઘા માર્યા હતા. આ હુમલામાં સિરાજભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના પાનની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ વાયરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એસપીની સૂચના બાદ સિટી પીઆઈ એમ.એમ. ઝાલાની ટીમે દાદલીમિયા રફીકમિયા સૈયદ, ઇરફાનભાઈ રફીકભાઈ સૈયદ અને અજુમિયા રફીકમિયા સૈયદ (રહે. અમરેલી) નામના ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા. સિરાજભાઈ કુરેશીની ફરિયાદના આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
પાટણ નગરપાલિકા ચૂંટણી: EVMમાં પીળું બટન ફરજિયાત:ચાર મત બાદ દબાવવું ફરજિયાત, એક જ યુનિટ વપરાશે
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં મતદારોએ EVM માં પીળું બટન દબાવવું ફરજિયાત રહેશે. 26 એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં મલ્ટી મેમ્બર વોર્ડ પદ્ધતિ મુજબ મતદારે પોતાના પસંદગીના ચાર ઉમેદવારોને મત આપ્યા બાદ મતદાન રજિસ્ટર કરવા માટે આ ખાસ બટન દબાવવું પડશે. જો મતદાર પીળું બટન નહીં દબાવે તો તેનું મતદાન નિષ્ફળ જઈ શકે છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને કર્મચારીઓને EVM પર મતદાન પ્રક્રિયાનું પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. શહેરના 11 વોર્ડમાં કુલ 101 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં 1,08,999 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ બૂથ પર 101 ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ થશે. આ વખતે EVM મશીનની કામગીરીમાં મહત્વનો ફેરફાર કરાયો છે. દરેક મતદારે કુલ 4 મત આપવાના રહેશે. મશીનમાં 13 ઉમેદવારોના નામ અને પ્રતીક સામે વાદળી બટન, એક નોટા માટેનું બટન અને વધારાનું એક પીળા રંગનું બટન રાખવામાં આવ્યું છે. મતદારે પોતાની પસંદગીના 4 કે તેથી ઓછા ઉમેદવારોને મત આપી દીધા બાદ બીપનો અવાજ આવે એટલે અંતે પીળા રંગનું બટન દબાવવું ફરજિયાત છે. નોટાનો ઉપયોગ કરનાર મતદારે પણ નોટાનું બટન દબાવ્યા બાદ પીળું બટન દબાવી મતદાન પૂર્ણ કરવાનું રહેશે. મતદાન પ્રક્રિયામાં સુધારાની પણ તક આપવામાં આવી છે. જો કોઈ મતદારને 4 કે તેથી ઓછા બટન દબાવ્યા બાદ લાગે કે ભૂલથી ખોટા ઉમેદવારને મત અપાઈ ગયો છે, તો તે જ ઉમેદવારના નામ સામેનું બટન ફરીથી દબાવીને તે મત રદ કરી શકશે અને ત્યારબાદ અન્ય પસંદગીના ઉમેદવારનું બટન દબાવી શકશે. પાટણના તમામ વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા 13 કે તેથી ઓછી હોવાથી દરેક બૂથ પર માત્ર એક જ મતદાન યુનિટ (EVM) વપરાશે. આનાથી મતદાન અને મતગણતરી બાદ સીલિંગની પ્રક્રિયા ઝડપી બનશે અને પરિણામો પણ વહેલા જાહેર થશે.
મોટી ખાવડીમાં લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના:47 થી વધુ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા
જામનગર નજીક મોટી ખાવડી ગામની લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. રાત્રિના સમયે ભોજન લીધા બાદ 47થી વધુ શ્રમિકોને અસર થઈ હતી. આ ઘટનાને પગલે કોલોનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ અસરગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન તબીબોની ટીમને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો હતો. હાલ તમામ શ્રમિકોને જરૂરી સારવાર મળી રહી છે અને તેમની તબિયત પર તબીબો સતત નજર રાખી રહ્યા છે. કેટલાક શ્રમિકોને રજા પણ આપી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખોરાકમાં બગાડ અથવા કોઈ ઝેરી પદાર્થ ભળી જવાને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ બનાવ રાત્રિના સમયે વીજળી ન હોવા દરમિયાન બન્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગરના અમિઝરા વાસુપૂજ્ય તીર્થ ખાતે બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી પક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન દરમિયાન જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આ શિબિર યોજાઈ હતી. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર મનોરંજન કાર્યક્રમો ઉપરાંત જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું છે. તાજેતરમાં જ તેમણે પક્ષીઓ માટે 500 પાણીના કુંડા, 200 પક્ષીઘર અને ચણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, ત્રણ સ્થળોએ પીવાના પાણીની પરબ અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ લખતર પ્રાથમિક શાળામાં પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું. વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ સમય ન બગાડે અને જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આ આયોજન કરાયું છે. જૈન ધર્મમાં તીર્થંકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ છે. સિલ્વર ગ્રુપ વર્ષોથી દેરાસરમાં પક્ષાલ પૂજાના આયોજન માટે સતત પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વેકેશનના માહોલ વચ્ચે 6 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૂપે, આજે અમિઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલ પૂજા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો પૂજાના વસ્ત્રોમાં જોડાયા હતા. આજના પક્ષાલનું આયોજન શ્રી વાસુપૂજ્ય કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવનાર બાળકોને સિલ્વર ગ્રુપ અને દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવી હતી. અક્ષત હિરેનભાઈ પરીખના આત્મશ્રેયાર્થ રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા આ સુંદર કાર્યનો લાભ લેવામાં આવ્યો હતો. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના સેક્રેટરી પંકીલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 21 એપ્રિલથી 31 મે સુધી દર રવિવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર કારોબારી ટીમ મહેનત કરી રહી છે.
બે વર્ષથી નાસતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે દબોચી લીધો
ગોધરા તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવીને ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લાના સાગટાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં તે વોન્ટેડ હતો. ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના મુજબ, નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન PSI એન.પી. સેલોત અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવી કંકુથાંભલા ચોકડી પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લખનઉથી 1008 યાત્રિકો સોમનાથ પહોંચ્યા:'સ્વાભિમાન પર્વ' અંતર્ગત સોરઠી સંસ્કૃતિથી ભવ્ય સ્વાગત
સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક ગૌરવને દેશભરમાં ઉજાગર કરવાના હેતુથી ‘સ્વાભિમાન પર્વ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પર્વ અંતર્ગત આજે સવારે ઉત્તર પ્રદેશના લખનઉથી 1,008 યાત્રિકોનો વિશેષ સમૂહ ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સોરઠી લોકસંસ્કૃતિથી સ્વાગત રેલવે સ્ટેશન પર યાત્રિકોનું સોરઠી પરંપરા મુજબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાંના નાદ અને પરંપરાગત લોકનૃત્યો સાથે ‘જય સોમનાથ’ના ઉદ્ઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્રથમ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને અસ્મિતાથી માહિતગાર કરવાનો છે. 3 દિવસીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવાસ આ યાત્રિકો આગામી 3 દિવસ સુધી સોમનાથ મંદિર તેમજ આસપાસના પવિત્ર સ્થળોની મુલાકાત લેશે. આ દરમિયાન તેમને મંદિરના સ્થાપત્ય, પ્રાચીન પરંપરાઓ અને આક્રમણો સામે અડીખમ રહેલા ભારતના પ્રતીક સમાન સોમનાથના ઇતિહાસ અંગેની માહિતી આપવામાં આવશે. યાત્રિકો મુલાકાત પૂર્ણ કરી 4 થા દિવસે પરત ફરશે. વહીવટી તંત્રની સજ્જતા યાત્રિકોની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન અને ડેપ્યુટી કલેક્ટર જૈમીન કાકડિયાની દેખરેખ હેઠળ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવા-જમવાની વ્યવસ્થા: વિવિધ સરકારી વિભાગોના સંકલનથી સુનિશ્ચિત કરાઈ. પરિવહન: યાત્રિકો માટે સ્થાનિક સ્તરે બસ અને વાહનોની સુવિધા. સહયોગી વિભાગો: શિક્ષણ, રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ અને નગરપાલિકા તંત્ર કાર્યરત. આગામી આયોજન ‘સ્વાભિમાન પર્વ’ના આગામી તબક્કામાં દેશના અન્ય શહેરોમાંથી પણ વિશેષ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓને સોમનાથ લાવવાનું આયોજન છે. આ અભિયાન દ્વારા વિવિધ પ્રાંતના લોકો સોમનાથની સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત થશે.
મોરબી જિલ્લાની નવનિર્મિત ટંકારા નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીનો જંગ જામ્યો છે. ગ્રામ પંચાયતમાંથી અપગ્રેડ થયા બાદ પાલિકા તરીકેની આ પહેલી જ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. જોકે, રાજકીય પક્ષોના જીતના દાવાઓ વચ્ચે સ્થાનિક મતદારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લાઈટ, પાણી અને રોડ-રસ્તા જેવા પાયાના પ્રશ્નો આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. મતદારોનું ગણિતટંકારા ગ્રામ પંચાયત વિસ્તાર ઉપરાંત જબલપુર ગ્રામ્ય વિસ્તારની આર્યનગર સોસાયટીનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે હવે પાલિકાના કુલ મતદારોની સંખ્યા 9,918 પર પહોંચી છે. આ મતદારો પ્રથમ વખત નગરપાલિકાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી મેદાનમાં 6 વોર્ડમાં ઉમેદવારોવોર્ડ 1: ભાજપના જયેશ ભટાસણા, ભારતી પાંચોટીયા, મનિષા દુબરીયા અને સિરાજ અબ્રાણી સામે કોંગ્રેસના કુમાર ત્રિવેદી, જ્યોત્સના લો, મહેશ મેરા અને મિતલ કક્કડ મેદાનમાં છે. બસપા તરફથી કનૈયાલાલ બાબરીયા સહિત 3 ઉમેદવારો લડી રહ્યા છે. વોર્ડ 2: ભાજપના જયસુખ સારેસા, મનિષા દતેસરીયા, મુકેશ ભૂકુ અને સરોજ ખોખાણીનો સામનો કોંગ્રેસના ગિરિશ ઘેટિયા, જીનત મોડ, નિલેશ રાઠોડ અને સિધ્ધિ પાચોટીયા સાથે થશે. વોર્ડ 3: ભાજપના અર્જુન ઝાપડા, જયદીપ જાની, પાયલ કુકડિયા અને પુનમ આશર સામે કોંગ્રેસના ગીતા દુબરીયા, પરેશ ફેફર, મંજુલા ઝાપડા અને રમેશ ભુંભરીયા નસીબ અજમાવી રહ્યા છે. વોર્ડ 4: અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. ભાજપના આરીફ ભુંગર અને સલીમ માડકીયા સામે કોંગ્રેસના અબ્દુલ ચૌધરી અને ગફાર ભુંગર મેદાનમાં છે. જ્યારે બસપા અને અપક્ષ ઉમેદવાર કનુ ઝાંપડા પણ રેસમાં છે. વોર્ડ 5: ભાજપના આશા કટારીયા, પંકજ કારેલીયા, મુક્તા મેરજા અને રશ્મિકાંત દુબરીયા સામે કોંગ્રેસના નાગજી ઝાંપડા, રોશન સેરસીયા, સુનિતા ગોધાણી અને હસમુખ જીવાણી વચ્ચે મુકાબલો છે. વોર્ડ 6: ભાજપના અકશાબાનુ સોહવંદી, નિશા મહેતા, પ્રતિક આચાર્ય અને મીરાજ કટારીયા સામે કોંગ્રેસના ગોપાલ ઝાંપડા, સલીમ ભાણુ, મિના ત્રિવેદી અને હેતલ ગૌસ્વામી ચૂંટણી લડી રહ્યા છે. 'સુવિધા આપો, વોટ લો'ટંકારાના શહેરી વિસ્તારમાં વસતા લોકોનું કહેવું છે કે પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો તો મળ્યો, પરંતુ સુવિધાઓમાં હજુ કોઈ સુધારો થયો નથી. અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અનિયમિતતા અને ખખડધજ રસ્તાઓ મુખ્ય સમસ્યા છે. રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ જનતા આ વખતે પાયાની સુવિધાઓના આધારે જ મતદાન કરવાના મૂડમાં જણાય છે.
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સામે ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો સાથે દલિત સમાજ મેદાને આવ્યો છે. માણાવદર તાલુકાના કરોડોના ભ્રષ્ટાચાર અને અનુસૂચિત જાતિના પ્રશ્નો બાબતે યોગ્ય ન્યાય ન મળતા, આગામી 25 અને 26 એપ્રિલ દરમિયાન ચૂંટણી બૂથની મર્યાદા બહાર જનજાગૃતિ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, માણાવદર તાલુકામાં થયેલા અંદાજે 39 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે વર્ષ 2023 સુધીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને 5 થી વધુ અરજીઓ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવેદનકર્તાએ આક્ષેપ કર્યો છે કે, રાજકીય પક્ષોને સભાઓ માટે તુરંત મંજૂરી મળી જાય છે, પરંતુ પ્રજાના હક અને સરકારની નાકામીયાબીના પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવતી નથી. આવેદનમાં વહીવટી તંત્ર પર સનસનાટીભર્યા આક્ષેપો કરતા જણાવાયું છે કે, કુકસવાડા અને માખીયાળા જેવા વિસ્તારોમાં જ્યાં વિરોધ પક્ષના ધારાસભ્યો હતા ત્યાં તંત્રએ તાત્કાલિક ગુના દાખલ કર્યા હતા. જ્યારે માણાવદરમાં છેલ્લા 10 વર્ષથી સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યો હોવાથી કૌભાંડ હોવા છતાં કોઈ તપાસ થતી નથી. આવેદનકર્તાના જણાવ્યા મુજબ, અધિકારીઓ પણ બદલી કે જેલના ભયથી સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. માણાવદર તાલુકા ભીમ આર્મીના પ્રમુખ ગુણવંતભાઈ મિયાત્રાએ જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નો વર્ષ 2016 થી પેન્ડિંગ છે. અમે 13 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હોવા છતાં તંત્ર માત્ર સમય પસાર કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસામાંથી લાખો રૂપિયા પગાર અને સુવિધાઓ મેળવે છે, પરંતુ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. • પ્લોટ ફાળવણીમાં રાજકારણ: ગ્રામ્ય વિસ્તારોમાં 100 ચોરસ વારના પ્લોટના ફોર્મ ભરવા માટે ભાજપને મત આપવાના સોગંદ લેવડાવવામાં આવતા હોવાનો આક્ષેપ. • શિક્ષણ પર પ્રહાર: ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિની છાત્રાલયો છેલ્લા 6 વર્ષથી બંધ હોવા છતાં કોઈ નવી સુવિધા ઉભી કરવામાં આવી નથી. • વિરોધ પ્રદર્શન: આગામી 25/04/2026 થી 26/04/2026 દરમિયાન ચૂંટણી બૂથની નિર્ધારિત રેન્જની બહાર પોસ્ટરો દ્વારા જનતાને જાગૃત કરવામાં આવશે. આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે કે મારી માટી મારો દેશ, કરો કૌભાંડ લૂંટો દેશ; જો કોઈ કરે વિરોધ તો કરો એની ઉપર ખોટા કેસ. દલિત સમાજે સ્પષ્ટ કર્યું છે કે જો તેમના 21 મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કાળવા ચોકથી લઈને નામદાર કોર્ટ સુધી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે...
વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે ગોઠવાયેલ VVIP બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર અને હુમલાની ઘટના સામે આવી છે. 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ અંગે 3 સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન દુમાડ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક નિયંત્રણની ફરજ સોંપવામાં આવી હતી. બંદોબસ્ત અંતર્ગત પોલીસ સ્ટાફ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે તરફથી આવતા વાહનોને રોકી કોન્વોય પસાર થાય ત્યાં સુધી વ્યવસ્થા જાળવવામાં આવી રહી હતી. રાત્રે આશરે 9:26 વાગ્યે કંટ્રોલ રૂમથી બંદોબસ્ત સમાપ્ત થવાનો મેસેજ મળ્યા બાદ પોલીસે દુમાડ ચોકડી પાસે વાહનોને નિયમ મુજબ રોકી માર્ગ વ્યવસ્થા જાળવી હતી. તે દરમ્યાન એક હોન્ડા પેશન બાઈક પર સવાર વ્યક્તિએ પોલીસના ઈશારા છતાં વાહન ન રોકતા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા બાઈક સવાર વ્યક્તિએ તોછડું વર્તન કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે રહેલા અન્ય એક યુવાન તથા ઈકો કારમાંથી ઉતરેલા બે મહિલા અને એક પુરુષે પણ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી અને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા અન્ય પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને એક આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન, સાથે આવેલી એક મહિલાએ ઘટનાનો વીડિયો બનાવી પોલીસને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ કૌશિકભાઈ બિપિનભાઈ પટેલ, પ્રેમલ કૌશિકભાઈ પટેલ તથા ફાલ્ગુનીબેન કૌશિકભાઈ પટેલ, ( ત્રણેય રહે. ગણેશપુરા, તા. વાઘોડિયા) હોવાનું જણાવ્યું હતું. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા.આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે. આરોપીએ ફંડ ભેગા કરવાની અને બોમ્બ બનાવવાની પણ તૈયારી કરી હતીગુજરાત એટીએસના પી.એસ.આઇ એ.પી પરમારને બાતમી મળી હતી કે સિદ્ધપુર ખાતે રહેતો ઈરફાન પઠાણ નામનો 22 વર્ષનો યુવક ઈસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને તેના મળતિયાઓ સાથે મળીને ભારતમાં ગઝવા એ હિન્દની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આરોપીએ અત્યારે ફંડ ભેગા કરવાના અને બોમ્બ બનાવવાની તૈયારી પણ કરી છે.જેથી એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઈરફાનની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. સમાન વિચારધારા ધરાવતા લોકો એક ગ્રુપથી સંપર્કમાં હતાજે બાદ ઈરફાનની તપાસ કરતા મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ISIS તથા અન્ય વિવિધ કટર ઈસ્લામિક માનસિકતા ધરાવતા લોકોના ગ્રુપ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. ઈરફાને તેના મળતિયાઓ સાથે મળીને દેશમાં ગઝવા એ હિન્દ સ્થાપિત કરવા માટે રાજકીય નેતાઓ, RSS સાથે સંકળાયેલા લોકોને મારવા માટે અને શરિયત લાગુ કરવા માટે વિવિધ રાજ્યોમાં સમાન ઈસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને એક સાથે જોડી RDX બોમ્બ અને અન્ય પ્રકારના બોમ્બ બનાવવાની ટ્રેનિંગ કેવી રીતે આપવી, કેમ્પમાં મોકલવા, ISIS તથા અન્ય ઓર્ગેનાઈઝેશન સાથે સંપર્ક બનાવી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હથિયારોનું સ્મગલિંગ કરવું અને ફંડ ભેગું કરવાનું પ્લાનિંગ કર્યું હતું. મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટઈરફાન સામે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઈરફાન સાથે મુંબઈનો મૂર્શિદ નામનો 21 વર્ષીય યુવક પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. એટીએસએ મુર્શિદ શેખની પણ મુંબઈથી ધરપકડ કરી હતી.તપાસ કરતા મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્લાનિંગની ચેટ પણ મળી આવી હતી.બંને આરોપીઓની ધરપકડ કરીને બંનેના 11 દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
શહેરના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં સગાઈની અંગૂઠી બાબતે ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ઘરે જઈ તેના પરિવાર સાથે ઝઘડો કરી, યુવતી પર હુમલો કરી છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, આરોપી આનંદ નવીનકુમાર ગોહિલ (રહે આનંદનગર આજવા રોડ)ની સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી. જોકે, સગાઈની વીંટી બાબતે વિવાદ થતા આરોપી આનંદે યુવતીના ઘરે જઈ પરિવાર સાથે ગાળાગાળી કરી ધાક-ધમકી આપી હતી. યુવકના આવા વર્તનથી કંટાળીને યુવતીએ બીજા દિવસે આનંદની માતાને ફોન કરી સગાઈ તોડી નાખવાની જાણ કરી હતી. સગાઈ તોડવાની વાતથી ઉશ્કેરાયેલા આનંદે યુવતીને ફોન કરી ગંદી ગાળો આપી હતી. યુવતીએ તેનો નંબર બ્લોક કરી દેતા, તે સાંજના સમયે ફરીથી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં ઝઘડો કરી માર મારવાની કોશિશ કરી હતી. સાથે યુવતી પોતાના ઘર પાસે ગાડી પાર્ક કરી રહી હતી. તે સમયે આરોપી આનંદ ત્યાં આવ્યો અને બળજબરીથી યુવતીનો ફોન ઝૂંટવી લીધો હતો. બાદમાં પંદર મિનિટ બાદ તે તેની મિત્ર સાથે એક્ટિવા પર પરત આવ્યો હતો. કંઈ પણ બોલ્યા વગર તેણે યુવતીનો કોલર પકડી, યુવતીની છેડતી કરી હતી. સાથે આ યુવકે યુવતીને બે લાફા ઝીંકી દીધા હતા અને જાહેરમાં અભદ્ર ગાળો આપી હતી. હાલમાં આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાળીયાદમાં શ્રી શાંતિનાથ ભગવાનની 119મી વર્ષગાંઠ:મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ધજા આરોહણ કરાયું
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા જૈન દેરાસરમાં ભગવાન શ્રી શાંતિનાથની ૧૧૯મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજના પાવન દિવસે, ૨૦ એપ્રિલ, ૨૦૨૬, સોમવારના રોજ યોજાયો હતો. આ નિમિત્તે ધજા આરોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન સમાજના લોકો તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પાળિયાદના અનેક શ્રાવકોએ આ પ્રસંગને ધાર્મિક મહત્વનો ગણાવ્યો હતો. ભગવાન શ્રી શાંતિનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા સાથે ધજા આરોહણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના થલતેજમાં છરીની અણીએ લૂંટની ઘટના બની છે. થલતેજના એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે 4 શખ્સોએ ઘુસીને મેનેજરને ચપ્પુની અણીએ બંધક બનાવીને અને માર મારી રોકડ રૂપિયા અને ઈલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 92,000ની લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે ગેસ્ટ હાઉસના માલિકે બોડકદેવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પહેલાં બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યામૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતા 57 વર્ષીય મુલસિંગ શિવજી પુરોહીતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ થલતેજમાં સહજાનંદ કોમ્પલેક્ષમાં ભાડે રાજવંશી ગેસ્ટ હાઉસ ચલાવે છે. 20 એપ્રિલે વહેલી સવારે હોટેલના મેનેજર ગીરીરાજ મીણા અને દેવીલાલ પટેલ હાજર હતા. ગીરીરાજ જ્યારે નાસ્તો કરી રહ્યો હતો, ત્યારે બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યા હતાં. ગીરીરાજ તેમને રૂમ બતાવવા ગયો ત્યારે અચાનક તેઓએ તેને પકડી લીધો હતો અને પૈસા ક્યાં છે? તેવું પૂછીને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ મેનેજરને કાઉન્ટર પાસે લાવ્યા ત્યારે ત્યાં ત્રીજો શખ્સ પણ આવી ગયો હતો. 'આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે' કહીને લૂંટ કરી આ શખ્સોએ ચપ્પુ બતાવીને ધમકી આપતા કહ્યું હતું કે, આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે. એટલું જ નહીં એક વ્યક્તિ કોમ્પલેક્ષની સીડીમાં ઉભો રહીને રેકી કરી રહ્યો હતો. લોકર તોડીને રોકડ સહિત 92 હજારની લૂંટ કરીને ભાગ્યાચારેય શખ્સોએ લોકર તોડીને કાઉન્ટર અને લોકરમાંથી 72000 હજાર રોકડા, કમ્પ્યુટર મોનિટર, ટીવી અને મોબાઈલ સહુતની કુલ રૂ. 92,000ની લૂંટ કરી હતી. લૂંટની સમગ્ર ઘટના ગેસ્ટ હાઉસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બોડકદેવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સંસ્કારી નગરી વડોદરા હવે ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા રંગે રંગાવા જઈ રહી છે. વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ ખાતે આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આગામી 23 એપ્રિલથી સાત દિવસ ભવ્ય ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 23 એપ્રિલથી 29 એપ્રિલ 2026 દરમિયાન વડોદરાની ધરા પર આધ્યાત્મિકતાનો અપૂર્વ સંગમ જોવા મળશે. પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને સ.ગુ. કે. કે. શાસ્ત્રીજીના આશીર્વાદથી આ મહોત્સવ ઉજવાશે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં સરધારના પ્રસિદ્ધ વક્તા પ.પૂ. સ.ગુ. નિત્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 200 વર્ષ પૂર્વેની ચલે ગજ બૈઠ કે મહારાજા સવારીને યાદ અપાવતી ભવ્ય ઐતિહાસિક નગરયાત્રા (શોભાયાત્રા) પણ નીકળશે. મહોત્સવ દરમિયાન માનવસેવાના વિવિધ પ્રકલ્પો જેમ કે મહાવિષ્ણુયાગ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી નયન પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી 150 વર્ષ પૂર્વે આ વડોદરા ખાતે સયાજીરાવ સરકારે સ્વામિનારાયણ સંપ્રદાયને સ્થાન આપી અને સરસ ભવ્ય દિવ્ય ગગનચુંબી મંદિરનું નિર્માણ કરાવેલું હતું. વાડી વિસ્તારની અંદર આવેલું સ્વામિનારાયણ મંદિરએ મંદિરને જ્યારે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે એ 150 વર્ષનો સાર્ધ શતાબ્દી મહોત્સવ વડોદરા ખાતે લેપ્રેસી ગ્રાઉન્ડમાં ઉજવવા જઈ રહ્યા છીએ. 23 થી લઈને 29 એપ્રિલ સુધી આ ભવ્ય મહોત્સવ ઉજવાશે. જેની અંદર 23 થી 27 તારીખ સુધી શ્રીમદ સત્સંગી જીવનની કથા પરમ પૂજ્ય વક્તા સ્વામી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના મુખેથી સાંભળવાનો લાભ આપણને પ્રાપ્ત થશે. ભવ્ય દિવ્ય મહોત્સવનું આયોજન, અનેક આયોજનો આ સાથે કરવામાં આવેલા છે. જેની અંદર સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, ભવ્ય દિવ્ય બાલમંચ, મહિલા મંચનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે આ મહોત્સવની અંદર જે અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો પધારશે એમના માટે પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરરોજ 30000 જેટલા લોકો ભોજન લઈ શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. ઉનાળો છે એટલા માટે અહીંયા મંડપની અંદર કથા બધા ભક્તો શ્રવણ કરી શકે એટલા માટે ઘણા બધા પંખાઓ, મોટા ફેન, સાથે સાથે સ્પ્રિંકલર, કુલર, એસીની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. દરરોજ અનેક પ્રકારના શરબતોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મહોત્સવનું વિશેષ આકર્ષણ એટલે કે તારીખ 28ના રોજ ભવ્ય દિવ્ય મંદિરથી લઈ ગેંડીગેટ અને સુરસાગર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેની અંદર ભવ્ય આતિશબાજી થશે અને ઘણા બધા સંતો-મહંતોના પણ આપણને દર્શન થશે. સમગ્ર વડોદરાવાસી ધાર્મિક જનતા, સમગ્ર હિન્દુ સનાતન ધર્મના બધા જ ધર્મપ્રેમી ભક્તોને અમે સાદર આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આ મહોત્સવના દર્શન, લાભ લેવા માટે અવશ્ય પધારશો. મુખ્ય અતિથિ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર રાકેશપ્રસાદજી મહારાજશ્રી, સાથે સાથે હિન્દુ સનાતન ધર્મના જેટલા પણ વડોદરા ખાતે રહેલા આચાર્યશ્રીઓ છે એમને પણ અમે ભાવભર્યું આમંત્રણ પાઠવેલું છે. રાજકીય વિભાગની અંદર પણ અમે આમંત્રણ પાઠવેલું છે. પોતપોતાના સમય અનુસાર બધા જ પધારશે. વિશેષ કરીને ગાયકવાડ સરકારના જે અત્યારે વંશજો છે એમને પણ અમે બહુ પ્રેમથી આમંત્રણ પાઠવેલું છે, એ પણ આ મહોત્સવની અંદર પધારશે.
SP યુનિવર્સિટીમાં શિક્ષણ સુધારવા વિશેષ પહેલ:5 દિવસીય 'આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન' ટ્રેનિંગનો પ્રારંભ
સરદાર પટેલ યુનિવર્સિટીમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીના IQAC વિભાગે NITTTR ભોપાલના સહયોગથી 'આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન એન્ડ એસેસમેન્ટ' વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) શરૂ કર્યો છે. 20 થી 24 એપ્રિલ દરમિયાન ચાલનારા આ કાર્યક્રમમાં પ્રોફેસરોને પરિણામલક્ષી શિક્ષણની આધુનિક પદ્ધતિઓ શીખવવામાં આવશે. કાર્યક્રમના પ્રારંભે સંવાહક પ્રોફેસર અલકા મેકવાને તાલીમનો મુખ્ય હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ FDPનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી આપવા પૂરતું શિક્ષણ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ વાસ્તવિક જગતમાં શું શીખ્યા અને તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે દિશામાં પ્રોફેસરોને સક્ષમ બનાવવાનો છે. શિક્ષણ-અધ્યયન પદ્ધતિમાં નવીનતા લાવવા માટે આવા આયોજન અનિવાર્ય છે. NITTTR ભોપાલના ડિરેક્ટર ડૉ. નિશિત દુબેએ માર્ગદર્શન આપતા કહ્યું કે, આજના હાઈટેક યુગમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે 'આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન' એક મહત્વપૂર્ણ સાધન છે. તેમણે પ્રોફેસરોને નવી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, સમય સાથે બદલાતી શિક્ષણ નીતિ જ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે NEP-2020 પર ભાર મૂક્યો હતો. કુલપતિએ સ્પષ્ટ કર્યું કે, નવી શિક્ષણ નીતિના દૃષ્ટિકોણને સાકાર કરવા માટે આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન એક શક્તિશાળી માધ્યમ છે. પ્રોફેસરોની ક્ષમતા વધવાથી જ યુનિવર્સિટીના શૈક્ષણિક ધોરણો મજબૂત થશે અને ગુણવત્તાસભર શિક્ષણ છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચી શકશે. સમગ્ર કાર્યક્રમના અંતે પ્રોફેસર અલકા મેકવાને આભારવિધિ કરી હતી. આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ પ્રોફેસરોને જ્ઞાનનું નવું શિખર સર કરવામાં મદદરૂપ થશે અને યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણને વધુ સુદ્રઢ બનાવશે.
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં એક ક્રેટા કારની ચોરીનો બનાવ બન્યો છે. ચોકાવનારી વાત એ છે કે કાર ચોરી કરવા આવેલા ચોર પણ ક્રેટા કાર લઈને જ આવ્યા હતાં. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં કારને ધક્કો મારીને લઈ જતા ચોર પણ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે. નારણપુરા પોલીસે ચોરી અંગે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. ચોર ક્રેટા લઈને આવ્યા ને ક્રેટા કાર ઉપાડી ગયાનારણપુરામાં રહેતા પ્રશાંત રાજ્યગુરુએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે 2024 માં જૂનામાં ક્રેટા કારની ખરીદી કરી હતી. 17 એપ્રિલ 2026 ના તેમણે તેમની ક્રેટા કાર ઘરની બહાર પાર્ક કરી હતી. ડોક્યુમેન્ટ પણ કારની સાથે ચોરી થઈ ગયા 20 એપ્રિલના વહેલી સવારે પ્રશાંતભાઈને તેમના ભાઈને શિવરંજની ખાતે લેવા જવાનું હતું જેથી તેઓ 5 વાગ્યે ઉઠ્યા ત્યારે તેમની ગાડી ઘરની બહાર નહોતી. પ્રશાંતભાઈએ આજુબાજુ તપાસ કરી પરંતુ તેમની કાર મળી આવી નહોતી. કારમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિત અલગ અલગ ડોક્યુમેન્ટ હતા. જે ડોક્યુમેન્ટ પણ કારની સાથે ચોરી થઈ ગયા હતા. સીસીટીવીમાં ચોર ક્રેટા કારને ધક્કા મારતા દેખાયાક્રેટા કારની ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અન્ય ક્રેટા કારમાં ચોર આવ્યા હતા જેમણે ક્રેટા કારની ચોરી કરી હતી. ચોર ક્રેટા કારને ધક્કા મારતા પણ દેખાઈ રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બજરંગ દળે સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:લવ જિહાદ અને ગેરકાયદે દબાણો સામે કાર્યવાહીની માંગ
બજરંગ દળના કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં સંગઠને પાંચ મુખ્ય મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે અને કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં વ્યવસાયિક ક્ષેત્રો અને સુશિક્ષિત સમાજમાં ફેલાઈ રહેલા 'લવ જિહાદ'ના કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંગઠને હિન્દુ કન્યાઓના શારીરિક શોષણ અને ધર્માંતરણના બનાવો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, સરકારી, વન અને રેલવેની જમીનો પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે. બજરંગ દળે આ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવા અપીલ કરી છે. આ કાર્યક્રમમાં બજરંગ દળના જિલ્લા સંયોજક સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેમણે વહીવટી તંત્રને શાંતિ અને સદ્ભાવ જાળવવા તેમજ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
તાજેતરમાં જ ભાજપમાં ઘર વાપસી કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયા પૂર જોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. આ દરમિયાન છાણી ટીપી 13માં પ્રચાર વખતે લોકો સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે આટલા ફ્લેટ્સમાં પણ સાત-આઠ- દશ ઘર જ મુસ્લિમ લોકોના છે. આપણા લોકો સાત આઠ મુસ્લિમ લોકોથી ઘરથી ડરતા હોય છે. જ્યારે આપણા 500 ઘર હોય તો પણ ડરતા નથી. આપણી વચ્ચે છાતી ખોલીને આવે છે. એ લોકો 5થી 7 લોકો આપણી વચ્ચે રહેવા આવે તો પણ કેવું કરીશું, શું કરીશું. આવું કરતા હોય છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અશાંત ધારાનો કાયદો લાવી છે. એ આવા લોકોને પાઠ ભણાવવા માટે છે. TP 13માં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે.આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપ એ રામ સંત લોકોની પાર્ટી છે. અહીંના ઉમેદવારોએ વિસ્તાર માટે ખૂબ જ પરસેવો પાડ્યો છે. તેમની ખાતરી હું આપું છું. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ 19માંથી જીત્યા હતા. મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવાના વિવાદમાં તેઓ ચર્ચામાં આવ્યા હતા અને ભાજપે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં આવ્યા છે.
ગીરની શાન અને સ્વાદના શોખીનોની પહેલી પસંદ એવી પ્રખ્યાત કેસર કેરીની સીઝન હવે પૂરેપૂરી જામી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી કેસર કેરીની આવકમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. એક તરફ માર્કેટમાં કેરીનો ભરાવો થતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે સામાન્ય જનતા માટે સારા સમાચાર છે, પરંતુ બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને ઈજારદારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેરીની આવક શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતમાં માત્ર 50 થી 100 બોક્સની જ આવક નોંધાતી હતી. જોકે, છેલ્લા પાંચ દિવસથી આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલમાં દરરોજ અંદાજે 8,000 થી 10,000 બોક્સની આવક થઈ રહી છે. તાલાળા અને ગીર આસપાસના વિસ્તારોમાંથી ઈજારદારો અને ખેડૂતો પોતાનો માલ લઈને જૂનાગઢ પહોંચી રહ્યા છે. ભાવની વાત કરીએ તો, સીઝનની શરૂઆતમાં કેસર કેરીના એક બોક્સનો ભાવ 1,500 થી 2,000 રૂપિયા સુધી બોલાતો હતો. જેની સામે આજે આવક વધતા ભાવ ઘટીને 700 થી 1,200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. વેપારીઓના મતે જેમ જેમ આવક વધતી જશે તેમ ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. દરરોજ 8,000 થી 10,000 બોક્સની હરાજી થઈ રહી છે અને આગામી દિવસોમાં આ જથ્થો હજુ વધશે. જોકે, આ વર્ષે માવઠું (કમોસમી વરસાદ) અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ આફતોને લીધે બગીચાના ઈજારદારો અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ગીર સોમનાથના વેરાવળથી પોતાની કેરી લઈને આવેલા ખેડૂત વેજાભાઈ બાબુભાઈ વાઘેલાએ પોતાની મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું હતું કે, અમે અમારા પરિવાર, કાકા અને ભાઈઓ સાથે મળીને કુલ 3 બોલેરો ભરીને કેસર કેરી જૂનાગઢ યાર્ડમાં લાવ્યા છીએ. આ કેરીઓ અમે અલગ-અલગ બગીચાઓમાંથી ઉતારી છે. પરંતુ અત્યારે બજારમાં જોઈએ તેવો ભાવ મળતો નથી. એક બોક્સના માત્ર 700 થી 1,100 રૂપિયા મળે છે, જેમાં અમને નફો મળતો નથી.આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ અને અગાશી કમોસમી વરસાદના કારણે આંબાના મોર બળી ગયા હતા. ગત વર્ષે જે બગીચામાં 200 બોક્સ ઉતરતા હતા, ત્યાં આ વર્ષે માત્ર 100 બોક્સ જ ઉતર્યા છે. વાતાવરણની આ અસરોને કારણે અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે જે કંઈ પાક બચ્યો છે તેને ન છૂટકે ઓછા ભાવે વેચવા માટે અમે મજબૂર બન્યા છીએ. માર્કેટિંગ યાર્ડના વિશ્લેષણ મુજબ, આ વર્ષે કેરીની સીઝન લાંબી ચાલે તેવી શક્યતા છે કારણ કે પાક મોડો તૈયાર થયો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતા સતત ફેરફારો ખેડૂતો માટે પડકારજનક બન્યા છે. શરૂઆતમાં વધુ પડતી ગરમી અને ત્યારબાદ અચાનક આવતા કમોસમી વરસાદે કેરીની ગુણવત્તા અને જથ્થા બંને પર અસર કરી છે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં પણ હરાજી શરૂ થઈ હોવા છતાં, જૂનાગઢ યાર્ડમાં પ્રમાણમાં સારા ભાવ મળતા હોવાથી ઈજારદારો અહીં વધુ આવી રહ્યા છે. જૂનાગઢ માર્કેટ અત્યારે કેસર કેરીની સુગંધથી મહેકી ઉઠ્યું છે. કેરી રસિકો માટે આ વર્ષે કેરી ભરપૂર માત્રામાં અને સસ્તા ભાવે ઉપલબ્ધ રહેશે, પરંતુ તેની પાછળ ખેડૂતો અને ઈજારદારોનો આર્થિક સંઘર્ષ છુપાયેલો છે. જો આગામી દિવસોમાં વાતાવરણ સાથ આપે તો આવક હજુ વધશે અને ગ્રાહકોને વધુ સસ્તી કેરી મળી શકશે, પણ ખેડૂતો માટે આ સીઝન નુકસાનની સાબિત થઈ રહી છે.ગીરની કેસર કેરી જૂનાગઢ યાર્ડમાં ઉભરાઈ રહી છે અને આગામી દિવસોમાં માર્કેટ હજુ વધુ ધમધમશે તેવા સંકેતો મળી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે માત્ર રેલી સભા સુધી સીમિત ન રહી હવે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી દરેક ઉમેદવારો રેલીથી શરૂ કરી રીલ સુધી પહોંચી ગયા છે. તેમાં પણ સામાન્ય રીલની સાથે સાથે મતદારોને રીઝવવા માટે AIનો પણ ઉપયોગ શરૂ કરી દીધો છે. જેમાં શાસક પક્ષે આર્ટિફિશિયલ મતદારોના મિજાજ થકી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જયારે આમ આદમી પાર્ટી દ્વારા અપૂરતી સુવિધા, અને 30 વર્ષના શાસનમાં અપૂરતા વિકાસ સામે બદલાવ જરૂરી છે અને એક મોકો આપી આમ આદમી પાર્ટીને મત આપવા માંગ કરવામાં આવી રહી છે. ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છેરાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પદયાત્રા અને પત્રિકા વિતરણ થકી ઘર ઘર સંપર્ક કરી રહ્યા છે. આ પદયાત્રા રેલી સભામાં પણ કાર્યકર્તાઓની પંખી હાજરી ચિંતાનો વિષય બની રહેતા આ વખતે હવે ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો દરરોજ પોતાના વિસ્તારની રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને તેમાં પણ સ્ટેપ આગળ AI મદદથી પણ રીલ બનાવી સોશિયલ મીડિયા થકી મતદારોના વિશાળ વર્ગને આકર્ષવા માટે પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. BJPએ એઆઈ રીલ બનાવીને આર્ટિફિશિયલ મતદારોને સવાલો કર્યાભાજપના ઉમેદવાર દ્વારા AI મારફત રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટની જનતાને ખરેખર BJPએ શું આપ્યું ત્યાંથી રીલની શરૂઆત કરી આગામી ચૂંટણીમાં જીત કોની થશે તેનો સીધો સવાલ પ્રજાને પૂછીશું કહી આર્ટિફિશિયલ મતદારોને સવાલો કરવામાં આવી રહ્યા છે અને તેમાં રોડ, રસ્તા, સફાઈ, ટીપરવાન, ઓનલાઇન વેરા વસુલાત જેવી બાબતોને આવરી લઇ સબ સલામતના દાવા સાથે રીલ તૈયાર કરવામાં આવી છે. જો કે અંતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ સ્થાનિક મુદ્દાના બદલે અયોધ્યા રામ મંદિર અને ઓપરેશન સિંદૂરના ફોટા મૂકી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો AAPએ સવાલ પૂછી રીલની શરૂઆત કરીબીજી તરફ આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ દિનેશ જોશી દ્વારા પણ AI મદદથી ખાસ રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓ રાજકોટના મતદારોને રાજકોટના રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો સવાલ પૂછી રીલની શરૂઆત કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં સુવિધાઓ મેળવવા મનપા કચેરીએ લાગતી લાઈનો, અપૂરતી સુવિધા અને 30 વર્ષનું ભાજપ સરકારનું શાસન છતાં યોગ્ય સુવિધા ન આપ શક્યાના આક્ષેપ સાથે એક મોકો આમ આદમી પાર્ટીને આપવા માટે મતદારોના વિશાળ સમૂહને અપીલ કરવામાં આવી રહી છે. પ્રચાર માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટમહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ને હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે નેતાઓ પૂરતો સમય પ્રચારમાં ફાળવી શકતા નથી. ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરતા આ વખતે ભાજપના ઉમેદવારોને વિસ્તારના તમામ લોકો સુધી પહોંચવા માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. ગરમીના કારણે ઓછું મતદાન થશે તો રાજકીય પક્ષોની ચિંતામાં વધારો રિપીટ થયેલા ઉમેદવારો તો માની રહ્યા છે ગત ચૂંટણીમાં 21 દિવસ જેટલો સમય મળતા 3 વખત વિસ્તારમાં પ્રચાર થઇ ચુક્યો હતો આ વખતે એક વખત પણ માંડ માંડ પૂર્ણ થઇ શકશે. તેવામાં ગરમીના કારણે ઓછું મતદાન થશે તો તે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો જરૂરથી કરાવશે. તેમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ અને ટિકિટ ફાળવણી બાદની નારાજગી પક્ષને નુકશાન પહોંચાડે તો નવાઈ નહિ.
રાજ્યમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. સૌથી મહત્વપૂર્ણ ગણાતી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના સીલિંગની કામગીરી હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા ચૂંટણી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં અત્યંત પારદર્શક રીતે કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિની આશંકા ન રહે. 9000 બેલેટ યુનિટ અને 6000 કંટ્રોલ યુનિટ તૈયારચૂંટણી પંચના આંકડા મુજબ, સુરત શહેર અને જિલ્લામાં કુલ મળીને 9000થી વધુ બેલેટ યુનિટ અને 6000થી વધુ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવનાર છે. સીલિંગ પ્રક્રિયા દરમિયાન દરેક બેલેટ યુનિટમાં વોર્ડ દીઠ ઉમેદવારોના નામ, તેમના ફોટા અને પક્ષના ચિહ્ન સાથેના બેલેટ પેપર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. આ મશીનોને ખાસ પિંક પેપર સીલથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લા સ્તરે આ કામગીરી પૂરજોશમાં પૂર્ણ થયા બાદ હવે તમામ મશીનોને નિર્ધારિત ડિસ્પેચ સેન્ટરો પર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. CCTV અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમસીલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને અત્યંત સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. મશીનોની સુરક્ષા માટે 24 કલાક હથિયારધારી પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે, જેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા સતત કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, મતદાનના એક દિવસ અગાઉ એટલે કે 25મી એપ્રિલ સુધી આ મશીનો કડક સુરક્ષા હેઠળ જ રહેશે. 25મી એપ્રિલે પ્રિસાઈડિંગ ઓફિસરોને થશે સોંપણીઆગામી 25મી એપ્રિલના રોજ વહેલી સવારથી ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ વિતરણની કામગીરી શરૂ થશે. પ્રિસાઈડિંગ ઓફિસર અને તેમની પોલિંગ ટીમ જે તે મતદાન મથક માટે ફાળવવામાં આવેલા ઈવીએમ અને અન્ય સામગ્રી સ્વીકારીને પોલીસ પ્રોટેક્શન હેઠળ રવાના થશે. મતદાન મથક પર પહોંચ્યા બાદ મશીનોની ફરી એકવાર ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન દરેક ઝોન વાઈઝ રૂટ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેથી પરિવહન દરમિયાન કોઈ વિલંબ કે સમસ્યા ન સર્જાય. 15 ટકા ઈવીએમ રિઝર્વ: ટેકનિકલ ખામી સામે તંત્ર સજ્જઘણીવાર મતદાનના દિવસે ટેકનિકલ ખામીને કારણે ઈવીએમ મશીનો બંધ પડી જવાની ફરિયાદો આવતી હોય છે. આ સમસ્યાના ત્વરિત ઉકેલ માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા 15 ટકા ઈવીએમ વધારાના ફાળવવામાં આવ્યા છે. જો કોઈ બૂથ પર મશીનમાં ખામી સર્જાય તો સેક્ટર ઓફિસર પાસે રહેલા રિઝર્વ મશીન દ્વારા તેને મિનિટોમાં બદલી શકાશે. આ ઉપરાંત, સ્ટાફને ઈવીએમના હેન્ડલિંગ માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે જેથી માનવીય ભૂલની શક્યતા નહિવત રહે. ચૂંટણીના દિવસે વહેલી સવારે 'મોક પોલ' યોજાશેમતદાન શરૂ થવાના એક કલાક અગાઉ, એટલે કે 26મી એપ્રિલની વહેલી સવારે વિવિધ રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં 'મોક પોલ' (નકલી મતદાન) રાઉન્ડ યોજવામાં આવશે. આ રાઉન્ડમાં મશીન બરાબર કામ કરી રહ્યું છે અને તેમાં કોઈ અગાઉથી મતો સંગ્રહિત નથી તેની ખાતરી કરવામાં આવશે. મોક પોલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ડેટા ક્લિયર કરીને પ્રિસાઈડિંગ ઓફિસર દ્વારા મશીનને ફરીથી સીલ કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મતદારોની જાગૃતિ અને સુરક્ષા પર ભારસુરત વહીવટી તંત્ર દ્વારા મતદારોને ઈવીએમથી મતદાન કેવી રીતે કરવું તે અંગે સમજાવવા માટે ખાસ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરો પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. તંત્રનો ઉદ્દેશ્ય વધુમાં વધુ મતદાન કરાવવાનો અને પ્રક્રિયાને પારદર્શક રાખવાનો છે. પોલીસ કમિશનર દ્વારા પણ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની ફોર્સ તહેનાત કરવાની ખાતરી આપવામાં આવી છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતનું વહીવટી તંત્ર લોકશાહીના આ પર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે સજ્જ છે.
ગોધરાના મેડ વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય માર્ગ પરથી સર્કલ હટાવી લેવાતા અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિકો દ્વારા આ સર્કલ ફરીથી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી વાહનવ્યવહાર સુરક્ષિત બની શકે. વહીવટી તંત્ર દ્વારા મેડ કાલાભાઈ પેટ્રોલ પંપથી સિંગલ ભરીયા રોડ તરફ જતાં રસ્તા પરથી અગાઉનું સર્કલ કોઈ અગમ્ય કારણોસર દૂર કરવામાં આવ્યું હતું. આ સર્કલ હટાવ્યા બાદથી આ ટ્રાફિક પોઈન્ટ અત્યંત જોખમી બન્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સર્કલ ન હોવાને કારણે વાહનોની ગતિ પર નિયંત્રણ રહેતું નથી, જેના પરિણામે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક રહીશ અયુબભાઈ કલંદરના મતે, સર્કલ હટાવ્યા બાદ અહીં દરરોજ ત્રણથી ચાર અકસ્માતો થાય છે, જેમાં લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે. અયુબભાઈએ વધુમાં જણાવ્યું કે, આજે પણ એક ખૂબ જ ગંભીર અકસ્માત થયો છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળે ફરીથી સર્કલ બનાવવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થા સુધારી શકાય.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4 માં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડમાંથી અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકેલા સ્વાતીબેન માંડલીયા અને મીનાબેન જોષી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અન્ય ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન સમયે શહેર ચૂંટણી સહ-ઇનચાર્જ મનહરસિંહ રાણા તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકાના ત્રણ પૂર્વ પ્રમુખોની ઉપસ્થિતિ રહી હતી. સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ભાજપના વિકાસના કામોને જન-જન સુધી પહોંચાડી વોર્ડ નંબર-4 ના તમામ ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં વોર્ડ નંબર-4 ના ઉમેદવાર જામાભાઇ ગરીયા અને મિલીંદભાઇની સાથે નગરજનો અને સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અગાઉ બિનહરીફ થયેલા સ્વાતીબેન માંડલીયા અને મીનાબેન જોષીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં મનહરસિંહભાઈ રાણા (શહેર ચૂંટણી સહ-ઇનચાર્જ), જીગ્નાબેન પંડ્યા (જૂનાગઢ મહાનગર પ્રભારી તથા પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), વિરેન્દ્રભાઈ આચાર્ય (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), નિલેશભાઈ શેઠ (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), અને જીજ્ઞાસાબેન નાયક (ઉપપ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ) નો સમાવેશ થાય છે.
ગીર સોમનાથમાં સાંસદની 'બ્રાન્ડ સામે માલ' ટિપ્પણી:નવદ્રા બેઠકની સભામાં રાજકીય માહોલ ગરમાયો
ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના નિવેદનો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આવું જ એક આક્રમક નિવેદન નવદ્રા જિલ્લા પંચાયત બેઠક પરથી સામે આવ્યું છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની જાહેર સભામાં સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ચૂંટણી આવે એટલે ઘણા લોકો રાજકારણમાં આવી પોતાનો માલ વેચવા નીકળે છે. પરંતુ જેનો માલ નબળો હોય એને જ વેચવા નીકળવું પડે... બ્રાન્ડને ક્યારેય વેચવું પડતું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપની 'બ્રાન્ડ' ગણાવી હતી. આ ટિપ્પણી બાદ રાજકીય વર્તુળોમાં ગહન ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષો આ નિવેદનને અહંકારપૂર્ણ અને અપમાનજનક ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપના સમર્થકો તેને પક્ષના આત્મવિશ્વાસ અને વિકાસના એજન્ડા સાથે જોડીને જોઈ રહ્યા છે. આ વખતે ગીર સોમનાથમાં ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ પૂરતી મર્યાદિત રહી નથી. આમ આદમી પાર્ટી અને અનેક અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણીનું સમીકરણ ત્રિકોણીય બની ગયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોના પ્રભાવને કારણે મુખ્ય પક્ષોના ગણિતમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકોના મતે, અપક્ષ અને નાના પક્ષો વોટ કટર સાબિત થઈ શકે છે, જેની સીધી અસર ભાજપ અને કોંગ્રેસ બંનેના પરિણામો પર પડી શકે છે. આ જ કારણ છે કે મુખ્ય પક્ષોના નેતાઓ હવે પ્રચાર દરમિયાન વધુ આક્રમક ભાષા અને વ્યૂહરચના અપનાવી રહ્યા છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની સભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી નોંધાઈ હતી, જે પક્ષ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જોકે, આવા આક્રમક નિવેદનો મતદારોમાં ધ્રુવીકરણ લાવે છે કે કેમ, તે પણ એક મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. ચૂંટણી નજીક આવતાં હવે દરેક શબ્દ, દરેક નિવેદન અને દરેક સભાનું મહત્વ વધી ગયું છે. ગીર સોમનાથમાં હાલ રાજકીય જંગ માત્ર મત મેળવવાનો નથી, પરંતુ છબી, પ્રભાવ અને સંદેશાના યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના કોંગ્રેસ વોર્ડ નંબર 9ના ઉમેદવારોએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન જનસંપર્ક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત ઉમેદવારો ખેરાળી ગામ પણ પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આસપાસના ગામોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ રહી છે, જે એક મહત્વપૂર્ણ ઘટના છે. કોંગ્રેસના ઉમેદવારોએ ગ્રામ્ય વિસ્તારના મતદારો સમક્ષ ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાઈ આવશે, તો લોકોના પ્રશ્નોનો વિશ્વાસપૂર્વક અને ઝડપથી નિકાલ કરશે. તેઓ પોતાના એજન્ડા સાથે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હરે કૃષ્ણ મંદિર ભાડજમાં પાટોત્સવ સંપન્ન:મહા અભિષેક અને પાલખી ઉત્સવ સાથે ભક્તિમય માહોલ
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાંચ દિવસીય પાટોત્સવનું મહા અભિષેક સાથે સમાપન થયું. આ વાર્ષિક ઉત્સવ ભગવાન રાધા માધવ, લક્ષ્મી નૃસિંહદેવ અને નિતાઈ ગૌરાંગના ભાડજ મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયું હતું. પાટોત્સવના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન રાધા માધવને નવા અને શોભાયમાન વસ્ત્રો, સુંદર ફૂલો તથા આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિરને વિવિધ ફૂલો અને પ્રકાશથી સુશોભિત કરીને સુંદર શૃંગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનને મંદિર પ્રાંગણમાં સુવર્ણ રથ પર વિહાર માટે પધરાવવામાં આવ્યા. ભક્તો દ્વારા ભગવાનને વિશેષ સેવા તરીકે 108 પ્રકારના રાજભોગ અર્પણ કરાયા હતા. આ પછી, 'ચૂર્ણ અભિષેક' વિધિ યોજાઈ, જેમાં સાત પવિત્ર નદીઓના જળ સમાવવામાં આવેલા 108 પવિત્ર કળશોથી અભિષેક કરવામાં આવ્યો. આ દરમિયાન, ભક્તોએ ઋગ્વેદના પુરુષ સૂક્તનું પઠન કરીને મહાપ્રભુનો મહિમા કર્યો. ઉત્સવનું સમાપન મહા આરતી અને ભવ્ય પાલખી ઉત્સવ સાથે થયું. આ પ્રસંગે ભક્તોએ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.
અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાયું, મુસાફરો અટવાયા:ગોધરા નજીક બે કલાક બાદ ટ્રેન બાંદ્રા રવાના
ગોધરા નજીક મોડી રાત્રે અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાઈ ગયું હતું. આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે કલાકના વિલંબ બાદ અન્ય એન્જિન જોડીને ટ્રેનને બાંદ્રા ટર્મિનલ તરફ રવાના કરવામાં આવી હતી. બરૌનીથી બાંદ્રા ટર્મિનલ જઈ રહેલી અવધ એક્સપ્રેસના એન્જિનમાં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ગોધરાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા કાસુડી રેલવે સ્ટેશન નજીક મોડી રાત્રે ટ્રેનનું એન્જિન ખોટકાઈ જતાં ટ્રેન થંભી ગઈ હતી. મોડી રાત્રિના સમયે અને આકરી ગરમીમાં ટ્રેન અટકી પડવાથી મુસાફરોની હાલત કફોડી બની હતી. આ ટ્રેન અગાઉથી જ બે કલાક મોડી ચાલી રહી હતી, જેમાં એન્જિન ખોટકાવાની ઘટના ઉમેરાતા મુસાફરોની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક અન્ય એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો. નવું એન્જિન જોડ્યા બાદ ટ્રેન મોડી રાત્રે 12:13 કલાકે ગોધરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી બાંદ્રા ટર્મિનલ તરફ આગળ વધી હતી.
વેરાવળ નજીક દરગાહમાં સિંહ-સિંહણ જોવા મળ્યા:મંડોર ગામનો વીડિયો વાયરલ થતાં કુતૂહલ અને ભય
ગીર પ્રદેશમાં સિંહોની વધતી સંખ્યાને કારણે હવે તેઓ માનવ વસાહતોની નજીક જોવા મળે છે. વેરાવળ નજીકના મંડોર ગામમાં બાલમશા પીરની દરગાહમાં સિંહ અને સિંહણની જોડી આરામ કરતી જોવા મળતા વિસ્તારમાં ચર્ચા જાગી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સિંહ-સિંહણની જોડી દરગાહના પરિસરમાં શાંતિપૂર્વક આરામ કરતી સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના ક્યારે બની તે અંગે ચોક્કસ માહિતી નથી, પરંતુ સ્થાનિકોના મતે આ વીડિયો મંડોર ગામની ભાગોળે આવેલી બાલમશા પીર બાપુની દરગાહનો છે. આ ઘટનાએ ગામમાં કુતૂહલની સાથે ભયનો માહોલ પણ સર્જ્યો છે. એક તરફ આ દુર્લભ દૃશ્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ સિંહોની આવી નજીક ઉપસ્થિતિને કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકો માટે જોખમ વધ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વનવિભાગના સૂત્રો અનુસાર, ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધતા તેઓ નવી ટેરિટરી શોધવા ગામડાઓ તરફ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વનવિભાગે લોકોને સાવચેતી રાખવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને સિંહ દેખાય તો તરત જ વનવિભાગને જાણ કરવા અપીલ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચેના સહઅસ્તિત્વ અંગે ચર્ચા જગાવી છે. ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહો હવે માનવ વસાહતોની નજીક આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા અને માનવ વસ્તીના સંરક્ષણ બંને માટે યોગ્ય આયોજન જરૂરી બન્યું છે.
નવસારી મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 2 ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો વિસ્તાર છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ એટલે કે રત્નકલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવસારી શહેરના વિકાસમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટપણે જોવા મળે છે. રત્નકલાકારોના ગઢમાં દિવ્ય ભાસ્કરની ટીમ મતદારોનો મિજાજ જાણાવા પહોંચી હતી. વોર્ડ નંબર 2માં વિકાસના કામો થયા હોવાના દાવા વચ્ચે પાયાની સુવિધાઓ જેવી કે ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને આંતરિક રોડ રસ્તાની હાલત હજુ પણ કથળેલી છે. આ વોર્ડમાં બ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને બાયપાસ રોડ છે તે રોડ બિસમાર હાલતમાં છે. જેથી વાહનચાલકોને ખુંબ મુશ્કેલી પડી રહી છે. તેમજ છેલ્લા ઘણા સમયથી ચાલતી ટ્રેન પણ બંધ કરી દેવાઈ છે જેથી મુસાફરોને ખુબ હાલાકી પડી રહી છે. સ્થાનિકોની માગ છે કે, નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બની છે તો સારા રોડ રસ્તાની સુવિધા આપો. વિરાર શટલ અને ફિરોઝપુર જનતા ટ્રેન બંધ કરાતા હાલાકીસ્થાનિક મનસુખ જાદવે જણાવ્યું કે, 50 વર્ષથી વિરાર શટલ અને ફિરોઝપુર જનતા ટ્રેન ચાલતી હતી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી આ ટ્રેન ચાલતી હતી. જે આજે 5 વર્ષ થઈ ગયા સાવ બંધ છે જે બંધ કરવાનું કારણ શું? ‘બે કલાક ડેપોમાં બેસીએ ત્યારે માંડ એક બસ મળે છે’વધુમાં જણાવ્યું કે, નાના માણસોને મુસાફરી માટે ખુબ તકલીફ પડે છે. બસો મળતી નથી અને લોકલ બસ મૂકે તો બે કલાક ડેપોમાં બેસવું પડે. 10 બસ પ્રાઈવેટ જાય પછી એક બસ મૂકે છે. પ્રાઈવેટ બસનું 50 રૂપિયા ભાડું છે. એ લોકો એવું ડેરીંગ વાપરે કે આપણે પ્રાઈવેટ બસ જ 50 રૂપિયાવાળી મૂકવાની. નાનો માણસ બે કલાક ડેપોમાં બેસે ત્યારે એને એક લોકલ બસ મળે, એ પણ ભીડવાળી મળે. માણસ બસમાં ચડે કેવી રીતે? ‘રોડ રસ્તા પહોળા કરો, આવવા-જવામાં બહુ તકલીફ પડે છે’નાગજીભાઈએ જણાવ્યું કે, અહીં કામ તો કાંઈ થયું જ નથી. રોડ રસ્તા પહોળા કરો, આવવા-જવામાં બહુ તકલીફ પડે છે. કોઈ સુવિધા નથી, પાણી વ્યવસ્થિત આપતા નથી. ટાંકામાં ગાબડાં પડી ગયા છે. એક ટાઈમ પાણી આપતા હતા હવે બે ટાઈમ કર્યું તો પાણી અડધો કલાક જ આપે અને અડધો વાલ જ ખોલે. મહિલાઓને પાણી ભરવા જવું પડે. વધુમાં જણાવ્યું કે, જેણે દબાણ કરેલા છે એને હટાવો અને સુવિધા આપો. મહાનગરપાલિકા બની હોય તો કંઈક રસ્તાની સુવિધા કરો, સારા રોડ બનાવો. જે જે સોસાયટીમાં નેતા ચૂંટાયા છે ત્યાં રોડ બનાવી નાખ્યા છે. બીજે ક્યાંય બનાવ્યા નથી. હંસગંગા અને રાધે સોસાયટી જેવા વિસ્તારોમાં રસ્તા એટલા ખરાબ છે કે રિક્ષાઓ પણ ઉંધી વળી જાય છે. ‘બ્રિજનું કામ ચાલુ હોવાથી અડધો કલાક વહેલું નીકળવું પડે છે’વોર્ડ નંબર- બેમાંથી કોંગ્રેસના ઉમેદવાર અનિલ પટેલ જણાવે છે કે, મારા વિસ્તારમાં આ વિજલપોર ફાટક પર બ્રિજ બનાવવાનું કામ આ લોકોએ નિરંતર ચાર વર્ષથી ચાલુ રાખ્યું છે. આજે એ રસ્તો બંધ કરી દીધો છે, કોઈપણ બાયપાસ રોડ આપ્યા વગર. અમારે જો એરુ ચાર રસ્તા સુધી જવું હોય, તો અડધો કલાક પહેલા નીકળવું પડે, કારણ કે ઘેલખડીના રસ્તા બધા ખાડાવાળા છે. ‘પીવાના પાણીની સમસ્યા અવારનવાર ચાલ્યા કરે છે’પાણીની લાઈન નાખે ત્યારે રાધે પાર્કમાંથી લઈને ઘેલખડી થઈને ગોપાલનગર નીકળવું પડે. એટલો લાંબો બાયપાસ રોડ આપ્યો છે, પણ ત્યાં રોડના કોઈ ઠેકાણા નથી. પીવાના પાણીની સમસ્યા ઘેલખડીમાં અવારનવાર ચાલ્યા કરે છે. ગટર તો કાયમ ઉભરાતી રહે છે. ત્યાંના કેટલાય રહીશોનું એવું મંતવ્ય હતું કે ગટરનું કામ કરી આપો. અમે નગરપાલિકામાં ફરિયાદો કરી કરીને થાકી ગયા છીએ. નગરપાલિકાના બધા નેતાઓ જીતીને જતા રહે છે, પણ આજ સુધી કોઈ જોવા પણ નથી આવતું. ફોન કરી કરીને થાકી ગયા, પણ કોઈ સાંભળતું નથી. ‘કચરો ગમે ત્યાં ઠાલવી દીધો છે’સ્ટેશન વિસ્તારના ફાટકનો સવાલ છે, જે લોકોએ વિચાર્યા વગર બંધ કરી દીધું છે. એના કારણે જનતાને આવવા-જવામાં તકલીફ પડી રહી છે. જલારામપુરમાં પીવાનું પાણી નથી. બંદરોડ પર જોઈએ તો કચરો ગમે ત્યાં ઠાલવી દીધો છે. ડાંભર રોડના કોઈ ઠેકાણા નથી. એટલે આ વખતે જનતા આ લોકોને પાઠ ભણાવશે. બીજી તરફ કેટલાક સ્થાનિકો મનપાની કામગીરીથી ખુશ પણ નજર આવ્યાં હતા. તેઓનું માનવું છે કે, તંત્રએ અનેક સમસ્યાનો હલ કર્યો છે. ‘ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થઈ’વોર્ડ નંબર-2ના સ્થાનિક મહેન્દ્ર સાવલિયાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં બંદર રોડ, કોટન કોલોની જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અને ઘરમાં પાણી ઘૂસવાની સમસ્યા હતી. તે સમસ્યા દૂર કરવા તેને વ્યવસ્થિત નિકાલ કરવા બ્લોક પેવરિંગ કરાયું જેના કારણે તેનો નિકાલ થઈ ગયો. રાયચંદ રોડની સ્કૂલ પર જર્જરિત બિલ્ડિંગ હતી જેના કારણે નાના છોકરા કે કોઈને હાની થવાની શક્યતા હતી, તે બિલ્ડિંગને ડિમોલેશન કરી અને ત્યાં બ્લોક નાખી, ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ થાય તે પ્રમાણેનું કામ કરાયું. ‘ભૂવા પડવાની મોટામાં મોટી સમસ્યા હવે હલ થઈ’શાળા નંબર-6માં કમ્પાઉન્ડ વોલ નહોતી, જેના કારણે પ્રાણીઓ અને પશુઓ ત્યાં પટાંગણમાં બેસી રહેતા હતા. જ્યાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. જલારામ સ્ટેશન પર અનેક ભૂવા પડતા હતા જે મોટામાં મોટી સમસ્યા હતી, જ્યાં ડ્રેનેજ લાઈન નખાઈ છે જેથી છેલ્લા પાંચ વર્ષથી ભૂવો તો શું પણ અત્યારે એક પણ ખાડો ત્યાં પડ્યો નથી. થાણે તળાવ ડેવલપ થાય છે, પાણીના સંગ્રહ માટે તો જલાલપોર વિસ્તારને ટૂંક જ સમયમાં એ પાણીની સમસ્યા દૂર થશે. વિરોધ પક્ષ અને જનતાનો આક્રોશ: 'બ્રિજના કામ અને ટ્રેનો બંધ થવાથી જનતા પરેશાન'પરિવહનનો પ્રશ્ન: વિજલપોર ફાટક પર છેલ્લા ચાર વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તો બંધ છે. કોઈ વ્યવસ્થિત બાયપાસ ન હોવાથી લોકોને ઘેલખડીના ખાડાવાળા રસ્તેથી અડધો કલાકનો ચકરાવો લેવો પડે છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18 ના 210 જેટલા EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ પશ્ચિમના મામલતદાર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરના આનંદ નગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે EVM નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. અહીં ત્રણ ઝોન માટે 210 EVM નું ચેકિંગ અહીં કરવામાં આવી રહ્યું છે. 30 જેટલા કર્મચારીઓ આ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એક પણ ઇવીએમમાં ખામી જોવા મળી નથી. આજે અહીં વોર્ડ નંબર 16,17 અને 18 ના EVM ની ચકાસણી થઈ રહી છે. જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્પીકર યોગ્ય રીતે ચોટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.
કાલાવડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટયાર્ડ નજીક ગઈકાલે (20 એપ્રિલે) બપોરે એક હિટ-એન્ડ-રનની ઘટના બની હતી. જેમાં એક મહિલા અને સગીરનું મોત થયું હતું. જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. અકસ્માત બાદ આજે આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ઘટનાની ભયાનકતા અને કારચાલકની બેદરકારીનો જીવંત પુરાવો બની રહ્યા છે. મૃતકોના નામ CCTV ફૂટેજમાં શું જોવા મળ્યું? અકસ્માતની આ સમગ્ર ઘટનાા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કારચાલક જામનગરથી કાલાવડ તરફ આવી રહ્યો હતો. આગળ જઈ રહેલી એક બસને ઓવરટેક કરવાની ઉતાવળમાં ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ટક્કર બાદ ચાર વ્યક્તિ હવામાં ફંગોળાયા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કારચાલકે મુખ્ય રોડ છોડીને વાહનને કાચા રસ્તે (રોડની સાઈડમાં) ઉતારી દીધું હતું, જ્યાં શેરડીના રસની કેબિન આવેલી હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે, તે સીધી જ ચિચોડા પાસે ઉભેલા લોકો પર ફરી વળી હતી. ફૂટેજમાં ટક્કરની તીવ્રતા જોઈ શકાય છે, જેમાં ચારેય વ્યક્તિ હવામાં ફંગોળાયા હતા. ટક્કર માર્યા બાદ કાર રોડની નીચે આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. આ આખી ઘટના માત્ર ગણતરીની સેકન્ડોમાં બની ગઈ હતી. મૃતક કીર્તિબેન ચાનપાના પુત્ર મયુરે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે માતાનું મૃત્યુ, પિતાને ગંભીર ઈજા અને અયાન નામના 13 વર્ષના નિર્દોષ કિશોરના મોતનો જવાબદાર કારચાલક જ છે. દંપતી દવા લેવા જામનગર આવ્યું’તું, પરત જતા તા.. મૃતક મહિલા કાલાવડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમને પગમાં દુ:ખાવો થતો હોવાથી દંપતિ જામનગર દવા લેવા આવ્યું હતું. મળતી માહિતી મુજબ, દવા લીધા બાદ દંપતી કાલાવડ પરત પહોંચી યાર્ડ સામે ઉભા હતા. જ્યાં તેઓએ પુત્રને ફોન કરી લઈ જવા કહ્યું હતું. આ દરમિયાન જ જામનગર તરફથી આવતી કાળમુખી કારે દંપતિ સહિત ચારને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં મહિલાનું મોત થયું હતું. કારચાલકની પત્ની અને પુત્રીને પણ ઈજાપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કારચાલક કાલાવડ ટાઉનમાં રહેતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત સમયે તેની કારમાં તેની પત્ની અને પુત્રી પણ બેઠા હતા. અકસ્માતમાં તેમને પણ ઈજાઓ પહોંચી છે, જેમને કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા તેજ બનાવવામાં આવી છે. ગેરકાયદેસર દબાણને કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે માર્કેટયાર્ડની આસપાસ રોડ સાઈડમાં આવેલી ગેરકાયદેસર કેબિનો અને દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં ન આવતા હોવાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે અને બેદરકાર ડ્રાઈવિંગ સામે લોકોમાં ભારે રોષ છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજને મહત્વના પુરાવા તરીકે ગણી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે.
'માર્કસ ભી અછે નહી હે ઓર હો ભી નહી પાયેગા, અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી', 'પાપા-ભૈયા-મમ્મા આર વન ઓફ ઓફ ધ મેન રીઝન, I'M Sorry 'આવા કમકમાટી ભર્યા શબ્દો લખીને ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી છે. વિદ્યાર્થિનીએ ગુમ થવા પાછળ અભ્યાસનું દબાણ હોવાનું સામે આવ્યુ છે. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 'દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે'ચાંદખેડા વિસ્તારમાં રહેતા પિતાએ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી છે. દીકરીના પિતા બિઝનેસ કરે છે અને તેમનો એક દિકરો ધો. 11માં જ્યારે દીકરી ધો. 9માં DPS સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઈકાલે(20 એપ્રિલ) બપોરે ઘરના સભ્યો જમીને પોતપોતાના રૂમમાં ગયા હતાં. સાંજના પાંચ વાગ્યાની આસપાસ આધેડ તેના દિકરાને લઈને ટ્યુશન ક્લાસિસમાં એડમિશન માટે ગયા હતા. આ દરમિયાનમાં આધેડને તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે. 'મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી...આઈએમ સોરી'પત્નીનો ફોન આવતાની સાથે જ પિતા દિકરાને લઈને ઘરે પહોચી ગયા હતાં. પિતાએ ચીઠ્ઠી વાંચી તેમા દીકરીએ લખ્યું હતું કે, કોઈ ભાળ નહી મળતા પરિવારે ફરિયાદ નોંધાવીદીકરીની ચીઠ્ઠી વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિતાએ બાળકીને શોધવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો અને તેના સંબંધીઓને પણ પુછ્યુ હતું પરંતુ તેની કોઈ ભાળ નહી મળતા અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 'બાળકીને શોધવા માટે તપાસ ચાલુ છે'ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, બાળકી હજુ મળી નથી જેથી બાળકીને શોધવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યુ છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે પણ કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો, સોમવારે અમદાવાદમાં 40.2C, ગાંધીનગરમાં 39.6C, વડોદરામાં 39.6C, સુરતમાં 37.5C અને અમરેલીમાં 40.9C મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતા તેના પ્રભાવ હેઠળ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આજે રાજકોટ 'અગનભઠ્ઠી' બનશે, પારો 42C સુધી જશેહવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજકોટમાં સૌથી વધુ 42C તાપમાન રહી શકે છે. આ ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરામાં 41C; ગાંધીનગર અને ડીસામાં 40C; ભુજ અને સુરતમાં 39C; ભાવનગરમાં 37C; કંડલામાં 36C; નલિયા અને દમણમાં 35C; પોરબંદરમાં 34.4C; જ્યારે દીવ, ઓખા અને વેરાવળમાં 33C તાપમાન રહેવાની શક્યતા છે. દ્વારકામાં સૌથી નીચું 31C તાપમાન નોંધાઈ શકે છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4C; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44Cનો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં આ વખતે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપ્યા બાદ હવે કોંગ્રેસના પંજા સાથે મેદાનમાં ઉતરેલા દેવુબેન જાદવે કાલે આંબાવાડી વિસ્તારમાં આયોજિત કોળી સમાજની વિશાળ જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં મારા દ્વારા થતું લોકસેવાની કદર કરવાને બદલે ષડયંત્ર રાચાયું હતું. મંચ પરથી પ્રજાને સંબોધતા દેવુબેન જાદવે ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, મેં સતત 10 વર્ષ સુધી વોર્ડ નંબર 6 માં રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી છે. ગટર ઉભરાવાની સમસ્યા હોય, નળમાં ગંદુ પાણી આવતું હોય કે લાઈટની સમસ્યા—લોકો અડધી રાત્રે પણ મને યાદ કરતા અને અમે સ્થળ પર જઈને કામગીરી કરાવી છે. પ્રજા વચ્ચેની મારી આ લોકપ્રિયતા ભાજપના શાસકોથી સહન ન થઈ અને અમને નીચા પાડવા માટે એક ઊંડું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું કે, નાના સમાજમાંથી આવતા લોકો જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેમને રોકવા માટે ખોટા આક્ષેપો અને પાયાવિહોણી વાતો ફેલાવીને બદનામ કરવામાં આવે છે. પરંતુ મને રાજકોટની જનતા પર અને મારા વોર્ડના રહીશો પર પૂરો ભરોસો છે કે તેઓ સત્યને ઓળખશે અને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે. આ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવુબેન જાદવે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવા છતાં તેમનું લક્ષ્ય તો હંમેશા લોકોની સેવા જ રહ્યું છે. નગરસેવકનું કામ જ એ છે કે પ્રજાની બધી પાયાની જરૂરિયાતો પૂરી કરવી. ભાજપે જે રીતે અમને અન્યાય કર્યો છે, તેનો બદલો હવે જનતા મતના રૂપમાં આપશે. અમે માત્ર વાતો નથી કરી, કામ કરીને બતાવ્યું છે અને એટલે જ આજે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો અને કાર્યકરો અમને આશીર્વાદ આપવા ઉમટી પડ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા જણાવ્યું કે શહેરની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીરે પણ મહિલા શક્તિ અને જનસેવાની વાત કરી દેવુબેનને ટેકો જાહેર કર્યો હતો. આ તકે વોર્ડ નંબર 3, 6 અને 7 ના કોંગ્રેસના કોળી સમાજના અન્ય ઉમેદવારોએ મંચ પરથી એકજુટતા પ્રદર્શિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ જાહેર સભા દેવુબેન જાદવના મતવિસ્તાર એવા આંબાવાડીમાં જ યોજાઈ હતી, જ્યાં તેમનું વ્યક્તિગત પ્રભુત્વ ઘણું વધારે છે. સભામાં ઉમટેલી મેદની અને લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 6 માં ભાજપ માટે આ વખતે રસ્તો આસાન નથી. કોંગ્રેસે અહીં કોળી સમાજના કાર્ડની સાથે સાથે દેવુબેનના 10 વર્ષના કામના અનુભવને પણ પ્રાધાન્ય આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ જનસમર્થન મતમાં કેટલું પરિવર્તિત થાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અલગ અલગ મુદ્દાઓ પર રાજકીય પાર્ટીઓ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરતી હોય છે ત્યારે અમદાવાદમાં ચૂંટણીમાં હવે લવ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે. AIMIM પાર્ટીના જમાલપુર વોર્ડના ઉમેદવાર અબ્દુલ અહદે જાહેર સભામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓ દ્વારા લવ જેહાદના મુદ્દે અમદાવાદના ચાર જેટલા મુસ્લિમ યુવકોને માર્યા છે અને પોલીસ ફરિયાદ પણ થઈ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. AIMIM પાર્ટીના ઉમેદવાર દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો અમે સફળ થઈ ગયા તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓને પણ રોકીશું. ‘4 નહીં 400ને માર્યા, બધાને નાગીન ડાન્સ પણ કરાવ્યો’બજરંગ દળના નેતા જ્વલીત મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં AIMIM પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે લવ જેહાદના મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ ચાર મુસ્લિમ યુવકોને માર્યા હતા ત્યારે હું કહેવા માગું છું કે એમના આંકડા ખોટા છે અમે 4 નહીં 400ને માર્યા છે અને બધાને નાગીન ડાન્સ પણ કરાવ્યો છે. AIMIMવાળાને કહેવા માગું છું કે જે પણ હિન્દુ બહેન દીકરીઓ સાથે લવ જેહાદનું ષડયંત્ર કરશે એની અમે આવી જ હાલત કરીશું. AIMIMના જે મુસ્લિમ નેતાઓ બની રહ્યા છે એમને હું કહેવા માગું છું કે જો તમારા સમાજના છોકરાઓની આટલી જ ચિંતા હોય તો હિન્દુ બહેન-દીકરીઓની આજુબાજુ પણ ફરે નહીં. જો હિન્દુ બહેન-દીકરીઓને ફસાવશો અને લવ જેહાદ કરશે તો માર ખાવાનું નક્કી છે. ‘નિકોલ, વટવા, ઘાટલોડિયામાં લવજેહાદ મુદ્દે ફરિયાદ થઈ’અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIM પાર્ટી મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી જમાલપુર, દરીયાપુર, ગોમતીપુર સહિત અલગ અલગ બેઠકો પર લડી રહી છે ત્યારે જમાલપુર બેઠક પરથી AIMIM પાર્ટીના યુવા ઉમેદવાર અબ્દુલ અહદ દ્વારા જમાલપુર ખાતે એક જાહેર સભામાં સંબોધતા કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓએ લવ જેહાદ મુદ્દે અમદાવાદના ચાર મુસ્લિમ યુવકોને માર માર્યો હતો. નિકોલ, વટવા, ઘાટલોડિયા વિસ્તારમાં લવ જેહાદ મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કેમ કોમના ધારાસભ્ય બોલ્યા નથી. ખબર નથી પડતી કેવા ધારાસભ્ય છે. એમને કોમની કંઈ પડી જ નથી. કોમ મુદ્દે બોલતા પણ નથી. ‘AIMIM સફળ થઈ તો દાદાગીરીને રોકવાનું કામ કરીશું’AIMIM પાર્ટીના ઉમેદવાર અબ્દુલ અહદે જાહેર સ્ટેજ પરથી કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓને હું કહેવા માંગુ છું કે જો AIMIM પાર્ટી સફળ થઈ ગઈ તો અમે તમારી દાદાગીરીને રોકવાનું પણ કામ કરીશું. આ નિવેદન બાજી પરથી હવે ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણીમાં જમાલપુર સહિત અલગ અલગ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર હિન્દુ મુસ્લિમનો મુદ્દો છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યો છે. જમાલપુર- ખાડીયા વિધાનસભાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા પણ અગાઉ ખાડીયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ કહીને ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો લાવવામાં આવ્યો છે ત્યારે ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
પાટણ વોર્ડ 9માં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન:ધારાસભ્ય કિરીટ પટેલે દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી
પાટણ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 9 માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધારાસભ્ય કિરીટ પટેલે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કાર્યકરો અને ઉમેદવારો સામે દાદાગીરી કરનારા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી. આ વોર્ડમાં કોંગ્રેસ તરફથી અલ્કેશ પટેલ (સીમેન્ટવાળા), સામાજિક કાર્યકર સુભદ્રા મોદી, પૂર્વ કોર્પોરેટર ગીતા ઠાકોર અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ પટણી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં વોર્ડના રહીશો અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે મતદારોને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાની ખાતરી આપી. સભાને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે વિરોધી પક્ષો અને અસામાજિક તત્વોને ઉદ્દેશીને આક્રમક વલણ અપનાવ્યું. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ શાંતિમાં માને છે અને સમાજનું વાતાવરણ ન બગડે તે માટે અત્યાર સુધી મૌન ધારણ કર્યું છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ મૌનને નબળાઈ ન સમજવું જોઈએ. તેમણે કહ્યું કે, અમે શાંતિપ્રિય છીએ એનો અર્થ એ નથી કે અમે બંગડીઓ પહેરી છે. જો કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસના ઉમેદવારો કે કાર્યકરો સાથે દાદાગીરી કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ધારાસભ્યએ વધુમાં ચેતવણી આપતા ઉમેર્યું કે જો કોઈ પોતાને 'દાદા' સમજતું હોય તો તેને ખબર હોવી જોઈએ કે કોંગ્રેસને પણ દાદાગીરી કરતા આવડે છે. જોકે, પક્ષ અત્યારે માત્ર લોકશાહી ઢબે ચૂંટણી લડવામાં અને શાંતિ જાળવવામાં માને છે. તેમણે કાર્યકરોને કોઈપણ અફવા કે દબાણ વશ થયા વગર નીડરતાથી ચૂંટણી પ્રચાર કરવા આહવાન કર્યું. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 9 ના તમામ ઉમેદવારોએ પણ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી અને વિસ્તારના વિકાસના કામોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
રામકથા માનસ શ્રી શિવ સંકલ્પનો આજે ચોથો દિવસ:અનેક સાધુ-સંતો, મહેમાનો સહિત હજારો શ્રોતાઓની ઉપસ્થિતિ
પાલીતાણા તાલુકાના સગાપરાની ધાર ખાતે મોરારીબાપુની રામકથા 'માનસ - શ્રી શિવ સંકલ્પ' નો આજે ચોથો દિવસ છે. ગત શનિવારથી શરૂ થયેલી આ રામકથામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી અનેક સાધુ-સંતો, મહંતો અને અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને પાલીતાણા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રોતાગણો આ કથાનો લાભ લઈ રહ્યા છે.
મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે રૂ. 64 લાખમાં સોદો કર્યો હતો. દરમિયાન, એજન્ટે બંને યુવાનોને દિલ્હી બોલાવી લીધા બાદ વસઈ ગામની ડાભલા ચોકડી પરના ગેસ્ટ હાઉસમાં પોતાના માણસો મોકલી પિસ્તોલની અણીએ પરિવાર પાસેથી લાખોની લૂંટ ચલાવી કારમાં ભાગી છૂટ્યા હતા. વસઇ પોલીસે એજન્ટ અને રૂપિયાની લૂંટ કરનાર બે શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પૈસાની લેણદેણ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી ગેસ્ટહાઉસના બેડ પર રૂ. 500-500ના બંડલ ગણી રહ્યો છે. થોડીવારમાં પરિવારને પિસ્ટોલ બતાવી લૂંટ કરી હતી, જેના પણ સીસીટીવી સામે આવ્યાં છે. શું છે સમગ્ર ઘટના?વસાઈ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા ખેડૂત બળવંતસિંહ સતુજી ચાવડાને કોલેજ કરતા દીકરા સિદ્ધાર્થને વિદેશ મોકલવાની ઈચ્છા હતી. તેમના ગામના મુકેશ મોતીભાઈ વણઝારાનો દીકરો દોઢ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો ત્યારે બળવંતસિંહને નિલેશ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. બળવંતસિંહે નિલેશના નંબર ઉપર વ્હોટ્સએપ કોલથી વાત કરી પોતાના દીકરા અને અન્ય એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયા મોકલવા રૂ.64 લાખમાં નક્કી કર્યું હતું. જેને પગલે 18 એપ્રિલના રોજ નિલેશે ટિકિટ કરાવી સિદ્ધાર્થ અને મુકેશ વણઝારાને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે દિલ્હી બોલાવતાં બંને દિલ્હી જવા રવાના થયા હતા. એજન્ટે પૈસા તૈયાર રાખવાનું કહી બે શખ્સને મોકલ્યાંદરમિયાન 19 એપ્રિલે સવારે નિલેશે વ્હોટ્સએપ કોલ કરી તમારા દીકરા અને મુકેશને ઓસ્ટ્રેલિયા મોકલવાના છે, તમે પૈસા તૈયાર રાખો. મેં દિલ્હીથી મારા બે માણસોને મોકલી દીધા છે. તેમને તમારો નંબર આપ્યો છે તે આવીને તમને ફોન કરશે. આ વાત બાદ બપોરે બળવંતસિંહ ઉપર સાદો કોલ આવતાં નિલેશે મોકલેલા બે માણસોને તેઓ ગોઝારિયા લેવા ગયા હતા અને પોતાની ગાડીમાં બેસાડી ડાભલા ચાર રસ્તા પરના રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. આરોપીઓને ગેસ્ટ હાઉસ 64 લાખ રૂપિયા બતાવ્યાં તેમની સાથે વાત કરતાં તેમણે સિદ્ધાર્થ અને મુકેશને રાત્રે 1 વાગ્યાની દિલ્હીથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ છે, તમે પૈસા બતાવશો તો ઓસ્ટ્રેલિયા મોકલી આપીશું તેવું કહ્યું હતું. જેથી મુકેશ વણઝારાના ભાઈ ઈશ્વર વણઝારા અને બળવંતભાઈએ ઘરેથી રૂ.64 લાખ લઈ આવી, રાધે ગેસ્ટ હાઉસના રૂમમાં બેસીને બંને શખ્સને બતાવ્યા હતા. રાતના પૈસા લઈ બન્ને શખ્સો ફરાર, ગેસ્ટ હાઉસમાં બૂમાબૂમરાત્રે સાહિલ વણઝારા પોતાના કાકાના દીકરા જગદીશ વણઝારા સાથે ગેસ્ટ હાઉસ આવ્યા હતા. ત્યારે રાત્રે 9 વાગ્યે બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા નીચેની હોટેલ પર જમીને પરત ગેસ્ટ હાઉસ જતા હતા, તે સમયે જ ગેસ્ટ હાઉસમાં રહેલા સાહીલે બૂમ પાડીને આ બંને લોકો પૈસા લઈ ગાડીમાં ભાગ્યા છે, તેમને પકડો એવું કહેતાંની સાથે જ બંને શખ્સો નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડીમાં બેસીને ડાભલા ચાર રસ્તા તરફ ભાગી છૂટયા હતા. લૂંટ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યોગેસ્ટ હાઉસમાં રહેલા સાહિલ અને જગદીશે એજન્ટ નિલેશે મોકલેલા બંને માણસે પિસ્તોલ જેવું હથિયાર બતાવી, 64 લાખ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હોવાનું જણાવતાં બળવંતસિંહ ચાવડાએ વસઈ પોલીસ મથકમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટનો નંબર થાઇલેન્ડનો નીકળ્યોપોલીસની પ્રાથમિક તપાસમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ નડિયાદનો હોવાનું અને તે જે નંબર ઉપરથી બળવંતસિંહ અને મુકેશ વણઝારા સાથે વાત કરતો હતો તે નંબર ઇન્ટરનેશનલ થાઈલેન્ડનો હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલ મુકેશ વણઝારાને મલેશિયાથી ત્યાંની સરકાર દ્વારા ડિપોર્ટ કરાયો હતો અને ત્યારબાદ નિલેશ બ્રહ્મભટ્ટ તેને મેસેજ કરીને પોતે તેનું ઓસ્ટ્રેલિયા જવાનું કામ કરી દેશેનું કહેતો હતો. દાગીના વેચી અને સગાંવ્હાલાં પાસેથી લાવેલા રૂપિયા લૂંટાયાપુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં ઘરના દાગીના વેચીને અને સગાં-વ્હાલાં પાસેથી ભેગા કરેલા લાખો રૂપિયા લૂંટાતાં બંને પરિવારો હેબતાઈ ગયા હતા. નાસી છૂટેલા બંને શખ્સને પકડવા એલસીબીએ ચાર ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં મોકલી છે.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટિકિટ કાપવાના મુદ્દે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. મંત્રી અમૃતિયાએ પૂર્વ પ્રમુખના 'અખંડ દીવા'ના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટિકિટ કપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1 માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ એક જાહેર સભાના મંચ પરથી સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને, આ વેપારીનું ગામ છે. આ નિવેદન બાદ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભાજપમાંથી 427થી વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી અનેક આગેવાનોને ટિકિટ મળી ન હતી, જેના કારણે કેટલાક અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેટલાક શાંત થઈ ગયા છે. વોર્ડ નં. 1 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાના, તેમના પુત્ર અમિતભાઈ અવાડિયા અને તેમની જૂની પેનલના ત્રણ સભ્યો માટે ભાજપ પાસે ટિકિટ માંગી હતી. જોકે, દેવાભાઈ, તેમના પુત્ર કે તેમની જૂની પેનલમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવી ન હતી. આથી દેવાભાઈ અવાડિયાના પુત્ર સહિત કુલ ચાર આગેવાનોએ અપક્ષ પેનલ બનાવીને વોર્ડ નં. 1 માંથી ઉમેદવારી નોંધાવી છે. મોરબીના વોર્ડ નં. 1 માં અપક્ષ ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વાવડી રોડ પર આવેલ સરદાર ચેમ્બર ખાતે બે દિવસ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા દેવાભાઈ અવાડિયાએ પોતાના વિસ્તારમાં કરેલા કામોની યાદી રજૂ કરી હતી અને ત્યારબાદ ટિકિટ કપાવવા બાબતે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ગઢ ગણાતા સુરતમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં પાટીલે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી ૨૭ બેઠકો આ વખતે બચાવીને બતાવો. પાટીલના આ નિવેદનથી સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ‘આપ’ના ગઢમાં ગાબડું પાડવા પાટીલની રણનીતિસી.આર. પાટીલે વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગયા વખતે અચાનક 27 બેઠકો મેળવીને જે દેખાવ કર્યો હતો, તે માત્ર એક સંજોગ હતો. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, હું આપના નેતાઓને ચેલેન્જ આપું છું કે જો તાકાત હોય તો આ 27 સીટો જાળવી બતાવો. પાટીલે ઉમેર્યું કે, જે લોકોએ 'આપ'ને મત આપ્યા હતા, તેઓ આજે પસ્તાઈ રહ્યા છે. પાટીલના મતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની કામ કરવાની પદ્ધતિથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે ભાજપ આ તમામ બેઠકો પર ભગવો લહેરાવશે. કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં: “આ વખતે પણ ખાતું નહીં ખુલે”કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સુરત શહેર ગયા વખતે જ કોંગ્રેસમુક્ત બની ગયું હતું. 2021ની મનપા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી અને આ વખતે પણ સ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે જનતાએ તેમને નકારી દીધા છે. પાટીલે દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ વખતે પણ સુરતમાં પોતાનું ખાતું ખોલાવવા માટે ફાંફા મારશે, પરંતુ સફળતા મળશે નહીં. જનતાનો ભરોસો માત્ર ભાજપ પર: પાટીલચર્ચા દરમિયાન સી.આર. પાટીલે ગુજરાતમાં ભાજપના શાસન અને જનતાના અતૂટ વિશ્વાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા-મહાનગરપાલિકા, તમામમાં ભાજપે અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સાક્ષી છે કે ગુજરાતની જનતા વિકાસની રાજનીતિમાં માને છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ભાજપના કાર્યકરોની મહેનત જ પક્ષને વિજય અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ચાય પે ચર્ચામાં કાર્યકરો સાથે સીધો સંવાદપાંડેસરામાં આયોજિત આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી લેતા લેતા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા કહ્યું કે, આપણે ઘરે-ઘરે જઈને સરકારની યોજનાઓ પહોંચાડવાની છે. વિપક્ષો ભલે ગમે તેટલા પ્રલોભનો આપે, પરંતુ સુરતની જનતા જાગૃત છે. પાટીલે કાર્યકરોને પેજ સમિતિના માધ્યમથી વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા અને ગત વખતના 'આપ'ના દેખાવને ધૂળ ચાટતો કરવા આહ્વાન કર્યું હતું. ‘5 વર્ષના કામોનો હિસાબ જનતા માંગશે’પાટીલે ‘આપ’ના કોર્પોરેટરો પર નિશાન સાધતા કહ્યું કે, જો તેમણે ખરેખર 5 વર્ષ કામ કર્યું હોત તો તેમને હારવાનો ડર ન હોત. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે માત્ર વિરોધની રાજનીતિ કરી છે. તેમણે કહ્યું, જો તમે 27 સીટો ફરી જીતી શકો તો જ કહી શકાય કે તમે કામ કર્યું છે, પરંતુ મને એવી કોઈ શક્યતા દેખાતી નથી. મતદારો હવે લોભ-લાલચમાં આવ્યા વગર ભાજપના વિકાસના કામોને જોઈને મતદાન કરશે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વિપક્ષોનું ગુજરાતમાં કોઈ વજૂદ નથી: મંત્રીનો આક્ષેપલેખના અંતે પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ બચ્યું નથી. સમગ્ર રાજ્યમાં વિપક્ષ પાસે કોઈ નક્કર વિઝન નથી. સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી ભાજપ માટે માત્ર ઔપચારિકતા સમાન છે કારણ કે જનતાએ મન બનાવી લીધું છે. પાટીલે અંતમાં વિજયી વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે સુરત ફરી એકવાર સો ટકા ભાજપમય બનશે અને વિરોધ પક્ષોના સૂપડા સાફ થઈ જશે.
દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. શહેરના નારોલ- વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ‘વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી. જેને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી-1 અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્મા પાસે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ક્લાસરૂમમાં આ ઘટના બની નથી. બે વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસની બહાર કોઈ ઝઘડો થયો હોઈ શકે. આંખમાં પરિકર જેવું સાધન મારવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મદદની શાસન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પોલીસ તપાસમાં સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતોશહેરના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢ્યું હતું અને તેના આંખમાં મારી દીધું હતું. ‘વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો’આંખમાં પરિકર મારતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા પિતા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પૂછતા બે વિદ્યાર્થીઓ ઝઘડતા હતા અને તેમને વચ્ચે છોડાવવા પડતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા નારોલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. નારોલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ‘આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ’વિદ્યાર્થીની માતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ.8માં અભ્યાસ કરતા બે બાળકો ઝઘડી રહ્યા હતા અને તેના મિત્રના ઝઘડામાં મારો પુત્ર છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો તેમાં વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં બેન્ચ પર ચડીને મારા પુત્રને આંખમાં પરિકર માર્યું હતું. એક આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ છે. હાલમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે. છોકરી બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. આંખમાં ઈજા થઈ છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની: PIનારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.અગ્રાવતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે વિદ્યાર્થી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન દરમિયાન પીરસવામાં આવેલા ભોજન બાદ 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો અચાનક બીમાર પડતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જમણવાર બાદ તબિયત લથડતાં દોડધામ પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં લગ્નપ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં મહેમાનો જમવા માટે એકત્ર થયા હતા. જોકે, ભોજન લીધાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઊલટીની ગંભીર તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં પરિવારજનો અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. દર્દીઓની સ્થિતિ અને સારવાર આ બનાવમાં કુલ 400થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમના માટે વિવિધ સ્તરે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે: સદનસીબે, અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કેટલાક દર્દીઓની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ અને ફૂડ સેફ્ટીની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસ અને લોકોના નિવેદનોના આધારે, લગ્નમાં પીરસવામાં આવેલા 'કેરીનો રસ' અને 'પનીરનું શાક' ફૂડ પોઈઝનિંગનું કારણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જવાબદાર વ્યક્તિઓ અને કેટરર્સ સામે તપાસના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલના આકરા તાપની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનો પારો પણ સાતમાં આસમાને છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચેની રસાકસીની સાથે જ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જેમાં વોર્ડ નં. 8નો રાજકીય જંગ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. વોર્ડ નં. 8નો અનોખો જંગ: સાસુ વિરુદ્ધ વહુ સુરેન્દ્રનગરના વોર્ડ નં. 8માં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ લડાઈ એટલા માટે ખાસ છે કારણ કે, અહીં 'આપ'ની ટિકિટ પર સાસુ રેખાબેન થરેશા અને ભાજપની ટિકિટ પર વહુ હીનાબેન થરેશા ચૂંટણીના મેદાનમાં સામસામે છે. જોકે, બંને ઉમેદવારોનું માનવું છે કે, આ એક લોકશાહી પ્રક્રિયા છે અને અંતે વિસ્તારનો વિકાસ જ મહત્વનો છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓ અને સમસ્યાઓ ચૂંટણીના માહોલ વચ્ચે મતદારો માટે પક્ષ કે ઉમેદવાર કરતા 'વિકાસ' અને 'સુવિધા' સૌથી મહત્વના મુદ્દા છે. વોર્ડ નં. 8ના રહેવાસીઓ પાસેથી મળેલા પ્રતિસાદ મુજબ, વોર્ડના અનેક વિસ્તારોમાં સમયસર પાણી ન આવવું એ મુખ્ય સમસ્યા છે. સ્થાનિકો ઈચ્છે છે કે, ચૂંટાઈને આવનાર પ્રતિનિધિઓ આ મુદ્દે કાયમી ઉકેલ લાવે. ગટરની સફાઈ અને યોગ્ય નિકાલ વ્યવસ્થા માટે લોકોમાં અપેક્ષા છે. રોડ-રસ્તા અને રીવરફ્રન્ટ જેવી સુવિધાઓમાં સુધારો થયો આ વોર્ડમાં ઓબીસી અને પછાત વર્ગના લોકોની વસ્તી વધુ છે. સ્થાનિક રહીશ ઇસ્માઇલ બાદનાનીના જણાવ્યા મુજબ, વિસ્તારમાં એક આધુનિક કોમ્યુનિટી હોલની ખાસ જરૂર છે, જેથી સામાજિક પ્રસંગો માટે સુવિધા મળી રહે. મહિલા મતદારોનું કહેવું છે કે, મહાનગરપાલિકા બન્યા પછી રોડ-રસ્તા અને રીવરફ્રન્ટ જેવી સુવિધાઓમાં સુધારો થયો છે, જેનો ઉપયોગ હવે સાંજના સમયે સુરક્ષિત રીતે થઈ શકે છે. ભવિષ્યમાં પણ આવી જ સ્વચ્છતા અને સુરક્ષિત વાતાવરણની અપેક્ષા છે. ‘મારી દીકરી-જમાઈ પ્રચારમાં નીકળી જઈએ છીએ’ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 8ના ચૂંટણી જંગમાં સામસામે રહેલા સાસુ રેખાબેન થરેશા (આમ આદમી પાર્ટી)એ જણાવ્યું હતું કે, વોર્ડ નં-8માં પહેલાં મારી દીકરી દક્ષાબેન થરેસાને આપ પાર્ટીમાંથી ટીકીટ આપી ફોર્મ ભર્યું હતું, પરંતુ એનું મતદાર યાદીમાં નામ ન હોવાથી એનું ફોર્મ રદ થયું હતું. ત્યાર બાદ પાર્ટીના કહેવાથી મેં ફોર્મ ભર્યું હતું. હાલમાં હું સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને દીવા બત્તી કરીને ચા પાણી પીને હું, મારી દીકરી અને જમાઈ સહિતના બધા પ્રચારમાં નીકળી જઈએ છીએ, અને અમે મારી પેનલના ચારેય સભ્ય પ્રચાર કરવા નીકળી જઈએ છીએ. 'હું જીતુ કે મારી વહુ મને તો ખુશી જ થશે' આ ચૂંટણીમાં હું જીતુ કે મારી વહુ જીતે, મને એમાં ખુશી જ થવાની છે. અમે પ્રચારમાં જઈએ છીએ તો આ વોર્ડના લોકો એમ કહે છે કે, અમારે ટાઇમસર પાણી આવતું નથી. લોકોને ગટરની અને લાઈટની પણ એટલી જ સમસ્યાઓ છે, અને અમે જો ચૂંટાઈને આવીશુ તો આ બધા કામો કરી આપીશું. અત્યારે લોકોનો પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વહુ હીનાબેન થરેશા (ભાજપ)એ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે લોકોને અમારા ઉપર પૂરો વિશ્વાસ છે અને લોકો અમને વોટ આપીને જીતાડશે. અમે જીતીશું તો આ વિસ્તારના લોકો માટે રોડ-રસ્તા, પાણી સહિતના જનતાને લગતા તમામ કામો અમે કરી આપીશું. લોકોને જે પણ પ્રશ્નો આવશે એને અમે ઝડપી સુલઝાવી દઈશું. ‘મારા સાસુ એમની રીતે લડે છે અને હું મારી રીતે’ અમારા વોર્ડમાં મારા સાસુ એમની રીતે લડે છે અને હું મારી રીતે લડું છું, જે પણ જીતે એના માટે પરિવારજનો ખૂબ રાજી થશે. હું અને મારા સાસુ એક જ વોર્ડમાં પ્રચાર કરીએ છીએ, તો સારી અનુભૂતિ થાય છે. હું ઘરની તમામ જવાબદારીઓ સંભાળવાની સાથે સવારના ઘરના બધા જ કામો કરીને આવું છું અને સવારે 9 થી બપોરના એક વાગ્યા સુધીનો ટાઈમ પ્રચાર માટે ફાળવું છું. અત્યારે પ્રચારમાં લોકોના જે-જે પ્રશ્નો આવે, એના માટે એમને વાયદો આપીને કહું છું કે તમારા તમામ કામો થઈ જશે. 'અહીંના લોકોમાં ખુબ આનંદ છે, કારણ કે…' કૃષ્ણપાલસિંહ ઝાલા (સ્થાનિક મતદાર)એ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સૌપ્રથમવાર ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે અહીંના લોકોમાં ખુબ આનંદ છે, કારણ કે, મહાનગરપાલિકા બન્યા બાદ વિસ્તારની અંદર ખુબ સારી સગવડતાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે. નેતાઓએ અમારા વિસ્તારમાં સારુ કામ કર્યું' 'ઇસ્માઇલ બાદનાની (સ્થાનિક મતદાર)એ જમાવ્યું હતું કે, ગત ટર્મમાં પણ નેતાઓએ અમારા વિસ્તારમાં સારું એવું કામ કર્યું હતું, જેમાં અહીંના કોર્પોરેટરો, ધારાસભ્ય અને સ્થાનિક નેતાગીરીએ સારુ એવુ કામ કર્યું છે. અમારા વિસ્તારના ઘણા બધા મુખ્ય પ્રશ્નો તો હલ થઇ ચુક્યા છે. 'મહાનગરપાલિકા બન્યા પછી વ્યવસ્થા ખુબ સારી છે' લક્ષ્મીબેન વડેસા (સ્થાનિક મહિલા મતદાર)એ જણાવ્યું હતું કે, પહેલાં કરતા મહાનગરપાલિકા બન્યા પછી વ્યવસ્થા ખુબ સારી છે, રોડની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને સાફસફાઈ સહીતની સુવિધાઓમાં વધારો થયો છે. અમને સારામાં સારો લાભ એ મળ્યો છે. ઉમેદવારોના વચનો રાજકીય સમીકરણો અને આંકડાકીય માહિતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા માળખા મુજબ, વોર્ડ નં. 8 વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો છે. 'આપ'ની એન્ટ્રીથી મુકાબલો ત્રિપાંખિયો બન્યો સુરેન્દ્રનગર જિલ્લામાં પરંપરાગત રીતે ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ નવી બનેલી મહાનગરપાલિકામાં 'આપ'ની એન્ટ્રીથી મુકાબલો ત્રિપાંખિયો બન્યો છે. વોર્ડ નં. 8માં સાસુ-વહુની લડાઈ ભલે ચર્ચામાં હોય, પરંતુ અંતિમ નિર્ણય તો સ્થાનિકોની પાયાની જરૂરિયાતો—જેમ કે પાણી, સ્વચ્છતા અને સામુદાયિક સુવિધાઓ—પૂરી કરવાની ક્ષમતા પર આધાર રાખશે. આગામી સમયમાં મતદારો કોને પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. ---- આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… વોર્ડ નં. 4 માં સુવિધાઓના નામે 'મીંડું' વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. વોર્ડ નંબર 4નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'વઢવાણને સ્મશાન બનાવી દીધું' સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની તમામ મહત્વની સંસ્થાઓ પર ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નં. 12માં આ વખતે રસ્તો આસાન નથી. વોર્ડ નંબર 12નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'અમે શહેરનો ભાગ છીએ કે નહીં?' સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ભલે જામ્યો હોય, પણ વોર્ડ નં. 13ની ગલીઓમાં ફરતી વખતે જે અનુભવાય છે તે રાજકીય ઉત્સાહ નથી, પણ વર્ષોથી દબાયેલી વેદના અને તંત્ર પ્રત્યેનો ગહેરો આક્રોશ છે. ભોગાવાના કાંઠેથી લઈને સંસ્કાર કેન્દ્ર સ્કૂલ અને રસાલા સ્કૂલ સુધીના વિસ્તારોમાં રહેતા લોકો એકસૂરે એક જ વાત કરી રહ્યા છે: વહીવટી તંત્રના મતે અમે કદાચ શહેરનો હિસ્સો જ નથી. વોર્ડ નંબર 13નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
રાજકોટમાં નણંદને ભાભીની શુભેચ્છા:અમદાવાદમાં ભાજપનો વિરોધ અને વડોદરામાં 'બિનહરીફ'ના દાવાઓ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના રાજકીય મંચ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ તીવ્ર બન્યો છે. ગઈકાલે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક નણંદ-ભાભી વચ્ચેની રાજકીય સૌજન્યતા જોવા મળી, તો ક્યાંક ભાજપના નેતાઓ વિરોધનો સામનો કરતા જોવા મળ્યા હતા. રાજકીય રણમેદાનમાં આક્રમક દેખાયા રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ ચૂંટણીમાં નણંદ-ભાભીના સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે. ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા પોતાના નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી હતી. જોકે, રાજકીય રણમેદાનમાં તેઓ આક્રમક દેખાયા હતા. રીવાબાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, મને ભાજપના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે, 26 તારીખે ભાજપની પેનલને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. સામે પક્ષે નયનાબાએ ભાભીની શુભેચ્છાનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું હતું કે, જીત કોની થશે એ તો 28 તારીખે પરિણામો જ નક્કી કરશે. હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોતવડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના અંદાજમાં એક વિવાદાસ્પદ શેખી મારી હતી. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોત, પરંતુ આપણે તો લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવી છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ ભાજપ પોતાનો ગઢ સાચવવા માટે કવાયત કરી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ આકરા તેવર સાથે મેદાનમાં ઉતરી છે. આગામી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે આવનારા પરિણામો જ નક્કી કરશે કે જનતા કોના પર વધુ ભરોસો મૂકે છે.
ભાવનગર પોલીસ એકશન મોડમાં:4921 આરોપી સામે અટકાયતી પગલાં, પાંચને પાસામાં ધકેલાયા
ગુજરાતમાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગું કરવામાં આવી છે અને પોલીસે ભાવનગર જિલ્લામાં ચેકપોસ્ટ, પેટ્રોલીંગ અને પ્રિવેન્ટિવ એક્શનને વેગ આપ્યો છે. પોલીસે છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 થી વધુ લોકો સામે અટકાયતી પગલાં ભરી ઝીરો ટોલરન્સની નિતી અપનાવી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે મોટા ભાગના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ ભાવનગર શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદનસીલ વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખશે. ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને પોલીસ તંત્ર સાબદું બન્યું છે. અને હજારો શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવી રહી છે. ચુંટણી દરમિયાન કોઇપણ પ્રકારની ખલેલ ન પહોંચે જેને લઇને પોલીસે કડક કામગીરી શરૂ કરી છે. છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 લોકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરી 11 માથાભારે શખ્સો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે મામલે શહેરના ચાર અને મહુવાના એક આરોપીને પાસા હેઠળ ધકેલી જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે. તદ્દઉપરાંત શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદશનશીલ વિસ્તારોની પણ ઓળખ કરવામાં આવી છે જ્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવનાર છે. આગામી ચુંટણીમાં એક હજારથી વધુ પોલીસ જવાનો કાર્યરત રહેશે તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મહુવા ગ્રામ્યમાં માઢીયા, ખુંટવડામાં આસરાણા ચોકડી, ગારિયાધારમાં નાની વાવડી, વેળાવદર ભાલમાં અધેલાઇ ચોકડી, ઘોઘામાં ઘોઘા મરીન, વલ્લભીપુરમાં કેરીયાના ઢાળ તેમજ ઉમરાળામાં રંઘોળા ચોકડી પાસે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચુંટણી દરમિયાન ભાવનગર પોલીસ દ્વારા ત્રિસ્તરીય બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. આ સિવાય શહેર અને જિલ્લામાં થાણા અધિકારીઓ દ્વારા પોતાના પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી કાયદા અને વ્યવસ્થાની જાળવણીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જે મામલે હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગરના દરિયામાં બોટ દ્વારા સતત પેટ્રોલિંગભાવનગર જિલ્લમાં 152 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. જેમાં ભાવનગર પોર્ટ મરીન દ્વારા 12 નોટીકલ માઇલમાં બોટ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોર્ટ મરીનના એક પી.એસ.આઇ. અને ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા સતત માછીમારોની બોટ તેમજ અજાણ્યા લોકો ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ એક્શન આંકડાની નજરે
ઘરફોડ ચોરીનું બનાવ:પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરેથી 2 લાખના ઘરેણાં ચોરી
શહેરના જ્વેલર્સ સર્કલ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યો મકાન બંધ કરી બપોરના સમયે પ્રસંગમાં જમવા ગયા બાદ ધોળા દિવસે બંધ મકાનમાં તસ્કર પ્રવેશી કબાટમાં રાખેલ રૂપિયા બે લાખની આસપાસ ના સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી નાસી છૂટ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર શહેરના વિક્ટોરિયા રોડ જ્વેલર્સ સર્કલ પાસે આવેલ સરદાર નગર પટેલ સોસાયટી નંબર 1 ના પ્લોટ નંબર ત્રણ માં રહેતા ઉષાબેન નરેશભાઈ જોશી ગત તારીખ 7 એપ્રિલના રોજ બપોરે બાર વાગ્યા બાદ તેના દીકરા સાથે પોતાના મકાનના મુખ્ય દરવાજા ને તાળું મારી રેલ્વે સ્ટેશન પાસે આવેલ વાડીમાં પ્રસંગના કારણે જમણવારમાં ગયા હતા ત્યારબાદ જમીને બે વાગ્યે ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજા નો નકુચો તોડી કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં પ્રવેશી કબાટ નું તાળું તોડી ઘરની તમામ વસ્તુઓ વેર વિખેર પડી હતી. બાદ સિક્યુરિટીમાં નોકરી એ ગયેલ તેમના પતિને બોલાવી તપાસ કરતા કબાટમાં રાખેલ રૂપિયા 1,97,709 ની કિંમત ના સોના ચાંદીના ઘરેણા ઉઠાવી કોઈ તસ્કર ધોળા દિવસે નાસી છૂટ્યો હતો. ઉષાબેન એ આ અંગે બોરતળાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતીં.
કરદાતાની હાલત કફોડી બની:ડેડલાઇનના દિવસે જ GSTN ડાઉન રિટર્ન ફાઇલિંગમાં અફરાતફરી મચી
એક તરફ જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત ઢુંકડી હોય અને બીજી તરફ જીએસટીએન સર્વર સમસ્યાઓ ઉભી કરી રહ્યું હોય તેવા અરસામાં કરદાતા અને ટેક્સ પ્રોફેશનલોની હાલત કફોડી બની જાય છે. GSTN પોર્ટલ છેલ્લા કેટલાંક દિવસોથી સતત ધીમું ચાલે છે, વારંવાર બંધ થઈ જાય છે તેમજ યોગ્ય રીતે કાર્યરત નથી રહેતું. જેના કારણે ટેક્સ પ્રોફેશનલ્સ તથા વેપારીઓને માર્ચ-2026ના GSTR-3B રિટર્ન ભરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ચ-2026ના GSTR-3B રિટર્નની ફાઇલ કરવાની અંતિમ તારીખ 20મી એપ્રિલ હતી, સવારથી જ પોર્ટલ ડચકા ખાવા લાગ્યુ હતુ અને સતત એરર પ્રદર્શિત કરી રહ્યું હતુ. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ટપ્પ બની ગઇ હતી. વેપારીઓ પર લેટ ફી અને પેનલ્ટીના જોખમ તોળાઇ રહ્યા છે. દરમિયાન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા માનનીય કેન્દ્રીય નાણામંત્રી, ચેરમેન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ તથા કમિશનર ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્કને ઈ-મેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે કે, માર્ચ-2026ના GSTR-3B રિટર્નની નિયત તારીખમાં વધારો કરવામાં આવે, તેમજ GSTN પોર્ટલની ખામીને કારણે વેપારીઓ પર કોઈપણ પ્રકારની લેટ ફી અથવા દંડ લાગુ ન કરવામાં આવે. ઉપરાંત, GST પોર્ટલ સુચારુ અને સતત કાર્યરત રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી આવનારા સમયમાં આવા પ્રશ્નો વારંવાર ઊભા ન થાય તેવી રજૂઆતો કરવામાં આવે છે. રિટર્ન સબમિટ કરતી વખતે સર્વર એરર આવતા આખો ડેટા ફરીથી પ્રોસેસ કરવો પડે છે. વર્ષાંતની કામગીરીમાં એક ભૂલ પણ વેપારીને મોટી પેનલ્ટી તરફ દોરી શકે છે. આ સંજોગોમાં સરકાર તાત્કાલિક મુદત વધારાની જાહેરાત કરે તો જ લાખો કરદાતાઓને વ્યાજ અને દંડમાંથી મોટી રાહત મળી શકે તેમ છે.
ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આમ જનતાને સારી સુવિધા આપવાની સાથે એસ.ટી. બસ સ્ટેશનના પરિસર અને એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 'સ્વચ્છતા હી સેવા'ના ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સ્વચ્છતા જાળવણી અંગે માર્ચ-2026ના મહિનામાં કરાયેલી કાર્યવાહીમાં એસ.ટી. ડેપોના પરિસરમાં ગંદકી ફેલાવતા 256 મુસાફરોને દંડ ફટકારાયો છે. ભાવનગર એસ.ટી. ડિવિઝન નીચેના 8 એસ.ટી. ડેપોમાં કરાયેલી કાર્યવાહીમાં એક માસમાં રૂ.6470નો દંડ વસૂલાયો હતો. એસ.ટી. ડેપોના પરિસર અને બસોમાં જયાં ત્યાં પાન મસાલાની પીંચકારી મારી ગંદકી ન ફેલાવવા તેમજ જાહેરમાં ધૂમ્રપાન ન કરવા અનુરોધ કરવામાં આવે છે. આમ છતાં અનેક મુસાફરો દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોય એસ.ટી. પ્રસાશન દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવામાં આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા એસ.ટી. ડેપોના પરિસર અને એસ.ટી. બસોમાં ગંદકી ફેલાવવા બદલ મુસાફરને રૂ.10થી લઈને રૂ.200 સુધીનો દંડ ફટકારાય છે. STના સ્વચ્છતા અભિયાનમાં મુસાફરો સહયોગ આપેસ્વચ્છતા ત્યાં પ્રભુતા સાથે દેશભરમાં ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એસ.ટી. ડેપો પરિસર જેવા જાહેર સ્થળોએ સ્વચ્છતાની જાળવણી કરવી આપણા સૌ કોઈની નૈતિક ફરજ બને છે ત્યારે એસ.ટી.ના સ્વચ્છતા અભિયાનમાં મુસાફરો સહયોગ આપે તે ખુબજ જરૂરી બાબત છે. > આર.ડી.પીલવાઈકર, ડિવિઝન કન્ટ્રોલર, ભાવનગર એસ.ટી. ડિવિઝન
ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ:ભાવનગર બંદર મરણપથારીએ
ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના બારમાસી બંદર ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ રહી છે. બેસિનની અંદર છેલ્લા 6 માસથી ડ્રેજીંગ બંધ હાલતમાં હોવાને કારણે દરિયામાંથી ઢસડાઇને આવતા કાંપના ઢગલા થવા લાગ્યા છે, ઓટના સમયે જો લોકગેટ ખુલ્લો હોય તો બેસિન ખારના મેદાન જેવી લાગવા લાગે છે. ભાવનગર નવા બંદર પર 2210 મીટરનો ક્વે છે, જેમાં નોર્થ ક્વે અને કોંક્રિટ જેટી વિસ્તાર આવેલા છે. ભરતી અને ઓટની અસર બેસિનની અંદર કાર્યરત બાર્જના ઓપરેશન પર પડે નહીં તેના માટે લોકગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકગેટની અંંદર બેસિન વિસ્તારમાં માલવાહક બાર્જ આસાનીથી કાર્યરત રહે તેના માટે સતત ડ્રેજીંગ કરવામાં આવે તેવી વ્યવસ્થા હોય છે, પરંતુ 6 માસથી બેસિનની અંદરનું ડ્રેજીંગ કાર્ય કરી રહેલા કટર સક્શન ડ્રેજર ક્રિષ્નામણીમાં તકનીકી સમસ્યાઓ સર્જાતા તેની ક્ષમતા મુજબનું કામ કરવામાં અસક્ષમ છે. જ્યારે હોપર બાર્જ માત્ર ચેનલમાં ક્ષુલ્લક ડ્રેજીંગ કરે છે, જે સમગ્ર બેસિન માટે પર્યાપ્ત નહીં હોવાને કારણે કંાપના થર સતત વધતા જ ગયા છે, અને અત્યારે હાલત એવી છે કે ઓટના સમયે 1200થી 1500 ટન માલ ભરેલા બાર્જને પણ બેસિનમાં કામ કરવા માટે મુશ્કેલી નડે છે. ડ્રેજીંગની સમસ્યાથી ભાવનગર બંદર લાંબા સમયથી પિડાઇ રહ્યું હોવા છતા તેનો કાયમી અને વ્યવહારૂ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી. તાજેતરમાં પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના ચિફ સેક્રેટરી હરિત શુક્લાની ભાવનગર પોર્ટની મુલાકાત દરમિયાન સબ સલામતના દ્રશ્યો ઉભા કરાયા હતા. ડ્રેજિંગ મટિરિયલ ડિસ્ચાર્જની લાઇન બદલાય છેભાવનગર નવા બંદરની બેસિનમાં અગાઉ નોર્થ ક્વે તરફ ડ્રેજીંગ મટિરીયલ ડિસ્ચાર્જની લાઇન હતી, જ્યાં હવે સીએનજી ટર્મિનલ સહિતની કામગીરી શરૂ થવાની હોવાથી આ લાઇનનું શિફ્ટિંગ કામ ચાલુ છે, અને સમગ્ર લાઇન અકવાડા જેટીથી આગળ લઇ જવાની છે. હાલ હોપર બાર્જથી મર્યાદિત ડ્રેજીંગ થાય છે. > ઇશ્વર મઢીયા, ડિવિઝનલ એન્જીનિયર, જીએમબી
સિટી એન્કર:એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં માનવતાને ઉજાગર કરતી એક હૃદયસ્પર્શી ઘટનામાં, એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી એક પરિવારે પોતાના 74 વર્ષીય વૃદ્ધાના ચક્ષુદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન થયેલા વૃદ્ધાના અવસાન બાદ મૃતદેહને વડોદરા લઈ જવા આવેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે પરિવારજનોને ચક્ષુદાન અંગે સમજાવી પ્રેરણા આપી હતી. ભાવુક પરિસ્થિતિ હોવા છતાં પરિવારે માનવતાને પ્રાથમિકતા આપતા આ ઉમદા કાર્ય માટે સંમતિ આપતા અંતિમ વિદાયમાં માનવતાના અનોખા સ્પર્શથી હવે બે લોકોના જીવનમાં ફરી ઉજાસ પથરાશે. મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરા સાસરું ધરાવતા 74 વર્ષીય માલિનીબેન હરેશકુમાર બેલાણી શનિવારે ભાવનગર પોતાના ભાઈના ઘરે આવ્યા હતા. જેને રવિવારે રાત્રે હૃદય સંબંધિત તકલીફોને લઈ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડીરાત્રે 2:30 કલાકે તેમનું અવસાન થતા પરિવારજનો દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ મારફતે માલિનીબેનના નશ્વર દેહને વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરી હતી. સર ટી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લઈ આવેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલક તોફીકભાઈ ખોખરે પરિવારજનોને અંગદાન અને ચક્ષુદાન અંગે સમજાવી તેની કાર્ય પદ્ધતિથી વાકેફ કર્યા હતા. પરિવારજનોએ ભાવુક પરિસ્થિતિ વચ્ચે પણ એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાના બંને ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરતા ભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને ભાવનગર સર ટી. હોસ્પિટલ સંચાલિત ચક્ષુબેંકની ટીમને બોલાવવામાં આવી હતી. ચક્ષુબેંક તબીબી ટીમના ડો.શિવાલી અને ડો.ભાવિકાએ દસ્તાવેજી કાર્યવાહીને અંતે માલિનીબેનના ચક્ષુઓ કાઢી ચક્ષુબેંકમાં જમા કરાવ્યા હતા ત્યારે માલિનીબેનના બંને ચક્ષુઓની મદદથી અંધારથી ભરેલા બે લોકોના જીવનમાં ફરી ઉજાસ પથરાશે. વૃદ્ધાના પરિવારજનોના ઉમદા નિર્ણયથી એમ્બ્યુલન્સ ચાલકે રૂ.9000 જેટલું માતબર ભાડું લેવાને બદલે માત્ર ડિઝલ ખર્ચ લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી અન્ય લોકોને પણ પ્રેરણારૂપ બન્યા છે. ભાવનગરનું ચક્ષુદાન અને દેહદાનમાં અનેરૂ પ્રદાનમેડિકલ ક્ષેત્રે ભાવનગરનું અંગદાન, ચક્ષુદાન અને દેહદાનનું ખુબ પ્રદાન છે. ભાવનગર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 83 જેટલા લોકોએ અંગદાન, 1000થી વધુ ચક્ષુદાન તથા 1100થી વધુ લોકોએ દેહદાન કર્યું છે. દર્દીઓના બ્રેઇનડેડ જેવા કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી અન્ય જરૂરિયાતવાળા લોકોની જિંદગીમાં ઉજાસ લાવી શકે છે. અંગદાન અંગેની વધુ જાણકારી મો. 95123-04381 પરથી મળશે. > ડો.યશ દવે, કોઓર્ડિનેટર, ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામ, સર ટી.હોસ્પિટલ.
હાઈકોર્ટનો નિર્ણય:SR અને CR દવાઓ સમાન નહીં ગણાય
મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, સસ્ટેઇન્ડ રિલીઝ (એસઆર) અને કન્ટ્રોલ્ડ રિલીઝ (સીઆર) દવાઓને સમાન ગણીને તેમની સીલિંગ કિંમત નક્કી કરી શકાતી નથી, જ્યાં સુધી તેના માટે સ્પષ્ટ નોટિફિકેશન જારી ન કરવામાં આવે. અદાલતે વધુમાં જણાવ્યું કે દાયકાથી વધુ સમય પછી કોઈ યોગ્ય કારણ વગર અને યોગ્ય તક આપ્યા વગર કરવામાં આવેલી ડિમાંડ નોટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.આ મામલો ન્યાયમૂર્તિ મનીષ પિતળે અને શ્રીરામ વી. શિરસાટની ડિવિઝન બેન્ચની ડિવિઝન બેન્ચ સમક્ષ આવ્યો હતો. અરજીકર્તાઓએ 15 ફેબ્રુઆરી, 2016ની ડિમાંડ નોટિસને પડકારી હતી, જે કેન્દ્રીય ઔષધ વિભાગ દ્વારા જારી કરવામાં આવી હતી. વિવાદ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ જારી કરાયેલ ડ્રગ્સ (કિંમત નિયંત્રણ) ઓર્ડર, 1995 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ ઊભો થયો હતો. અરજીકર્તાઓનું કહેવું હતું કે તેમની સીઆર વેરિયન્ટ દવા શરૂઆતમાં આ ઓર્ડરના દાયરામાં આવતી નહોતી અને 2006માં જ તેને સામેલ કરવામાં આવી હતી. ત્યારે સુધી તેઓ ઉત્પાદન બંધ કરી ચૂક્યા હતા. છતાં 2015માં તેમને નોટિસ આપવામાં આવી અને 2016માં ઓવરચાર્જિંગના આરોપ સાથે માગણી કરવામાં આવી. અદાલતે નોંધ્યું કે પ્રથમ નોટિસ લગભગ 9 વર્ષ પછી અને ડિમાંડ નોટિસ 10 વર્ષથી વધુ સમય બાદ જારી કરવામાં આવી હતી, જે અયોગ્ય વિલંબ છે.
રેલવે સેવાઓમાં હંગામી અવરોધ સર્જાયો:ડોંબિવલીમાં લોકલ પાટા પરથી ઊતરી : પીક અવર્સમાં અવરોધ
ડોમ્બીવલી રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 1 પર સોમવારે સવારે લગભગ 8:10 વાગ્યે એક ખાલી લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી, જેના કારણે સવારના વ્યસ્ત પીક અવર્સ દરમિયાન ઉપનગરીય રેલવે સેવાઓમાં હંગામી અવરોધ સર્જાયો હતો. મધ્ય રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાલી રેક કલ્યાણ તરફ જઈ રહી હતી ત્યારે તેનો એક કોચ અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. સદભાગ્યે, ટ્રેન ખાલી હોવાના કારણે કોઈ મુસાફર હાજર ન હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. આ ઘટનાની અસર ડાઉન લાઇન પર ચાલી રહેલી ઓછામાં ઓછી બે લોકલ ટ્રેનો પર પડી હતી. ટ્રેનોને સમયસર ચલાવવા માટે રેલ્વે તંત્રએ તરત જ કાર્યવાહી કરીને તેમને અન્ય ટ્રેક પર ડાયવર્ટ કરી હતી. કેટલાક મુસાફરોને ટ્રેનમાંથી ઉતરીને પાટા પરથી ચાલીને સ્ટેશન સુધી પહોંચતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે થોડી ગભરાટની સ્થિતિ ઉભી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડાઉન લાઇન સેવાઓને પ્લેટફોર્મ નંબર 4 તરફ ફેરવવામાં આવી હતી અને વૈકલ્પિક માર્ગો દ્વારા ટ્રેનોની અવરજવર ફરી શરૂ કરવામાં આવી હતી. મધ્ય રેલ્વે ના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, આ ઘટના છતાં અપ લાઇન સેવાઓ, ખાસ કરીને કલ્યાણથી મુંબઈ જતી ટ્રેનો પર કોઈ અસર પડી નથી. હાલમાં રેલ્વેની ટેકનિકલ ટીમો પાટા પરથી ઉતરેલા કોચને દૂર કરવા અને ટ્રેકને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે કામ કરી રહી છે. જોકે સેવાઓ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી નહોતી, તેમ છતાં સવારના કામકાજના વ્યસ્ત સમયમાં મુસાફરોને થોડી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
ધરપકડ:બેંક ઠગાઈ કેસમાં અનિલ અંબાણીની કંપનીના બે એક્ઝિક્યુટિવની ધરપકડ
17 જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 19,694.33 કરોડનું ખોટી રીતે નુકસાન કરવામાં આવ્યું હોવાની એસબીઆઈની ફરિયાદની તપાસ કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ઉદ્યોગપતિ અનિલ ડી. અંબાણી દ્વારા નિયંત્રિત મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર.કોમ)ના બે સિનિયર એક્ઝિક્યુટિવ ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિ., અનિલ અંબાણી અને અન્ય અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંકનો આરોપ છે કે તેણે આરોપી કંપનીને ધિરાણ સુવિધાઓ મંજૂર કરી હતી, પરંતુ આરોપી ઋણદારો દ્વારા છેતરામણી પ્રવૃત્તિઓને લીધે બેંકને રૂ. 2929.05 કરોડનું નુકસાન થયું હતું. એસબીઆઈની જ ફરિયાદ અનુસાર 17 જાહેર ક્ષેત્રની બેંકોને રૂ. 19,694.33 કરોડનું નુકસાન થયું હતું. હમણાં સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આર.કોમે કંપનીના અધિકારીઓ દ્વારા નિયંત્રિત શેલ (બોગસ કંપનીઓ) કંપનીઓ થકી આડકતરા વ્યવહારો કર્યા હતા અને તેની ગ્રુપની કંપનીઓ સાથે બોગસ સેવા સંબંધી લેણદેણ માટે ડિસ્કાઉન્ટેડ એલસી (લેટર ઓફ ક્રેડિટ) પણ મેળવ્યા હતા, જે હસ્તાંતરિત થતાં બેંકોને મોટું નુકસાન થયું હતું.ડી. વિશ્વનાથ જોઈન્ટ પ્રેસિડેન્ટ હતો. તે ગ્રુપની બેંકિંગ કામગીરીઓનો એકંદર ઈનચાર્જ હતો અને તેના નિર્દેશ હેઠળ ભંડોળનો દુરુપયોગ કરાયો હતો. તે આરોપી કંપનીને સુવિધાની મંજૂરી અને વિતરણ માટે બેંકો સાથે સમન્વય કરતો હતો. વાઈસ પ્રેસિડેન્ટ અનિલ કાલ્યાએ ડી. વિશ્વસનાથને સક્રિય રીતે ટેકો આપ્યો હતો અને આ બંને આર.કોમ ગ્રુપના મહત્ત્વપૂર્ણ કારોબારીઓ હોઈ કોર્પોરેટ ફાઈનાન્સ, બેંકિંગ કામગીરીઓ, ભંડોળના પેમેન્ટ/ ઉપયોગ વગેરેનું વ્યવસ્થાપન કરતા હતા. નોંધનીય છે કે વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને એલઆઈસી દ્વારા હજારો કરોડો રૂપિયાની છેતરપિંડી સંબંધે અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે સાત કેસ છેલ્લા થોડા મહિનામાં દાખલ કર્યા છે.
6 કરોડનું ડ્રગ્સ જપ્ત:મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સ કાંડ પછી પોલીસ સક્રિય
ગોરેગાવ સ્થિત નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બે એમબીએ વિદ્યાર્થી- વિદ્યાર્થિનાં દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ બાદ પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ડ્રગ્સના વધતા પ્રસાર અંગે ચિંતા વધારી છે, જેના પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી) એ સક્રિય તપાસ શરૂ કરી છે.તાજેતરમાં એએનસીએ ટિટવાલામાંથી એક મહિલા ડ્રગ સપ્લાયરને ઝડપી પાડી છે. તેની પાસેથી અંદાજે ₹6 કરોડની કિંમતની 5,000 એમડીએમએ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે, જેને શહેરમાં અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ-સોર્સ રિકવરી માનવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલી મહિલા, જે 40 વર્ષની આસપાસની છે, ભૂતપૂર્વ બાર ડાન્સર હોવાનું સામે આવ્યું છે. તેણે મુંબઈ અને થાણે વિસ્તારમાં એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા બાદ લગભગ ત્રણ વર્ષ પહેલા ડ્રગ્સના ધંધામાં પ્રવેશ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક વેપારીએ તેને નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાવી હતી અને ઊંચા નફાની લાલચ આપી હતી. દરોડા દરમિયાન પોલીસે તેના નિવાસસ્થાનમાંથી પાંચ મોબાઇલ ફોન અને આઠ સિમ કાર્ડ પણ જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ ઉપકરણોના કોલ ડેટા રેકોર્ડનું વિશ્લેષણ કરી રહી છે જેથી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાય અને સમગ્ર સપ્લાય ચેઇનનો પર્દાફાશ થઈ શકે.આ કાર્યવાહી અગાઉ 16 એપ્રિલે સાકીનાકાના જરીમારી વિસ્તારમાંથી ઈરફાન અલી અંસારી (40) ની ધરપકડ સાથે જોડાયેલી છે, જેને 200 એમડીએમએ ગોળીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અંસારી અગાઉ 2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ ચાર વર્ષ જેલમાં રહી ગયા વર્ષે જામીન પર બહાર આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, છૂટ્યા બાદ તેણે ફરી ડ્રગ્સનું વિતરણ શરૂ કર્યું હતું.હાલમાં અંસારી અને અન્ય આરોપીઓને 22 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેના સરસંઘચાલક મોહન ભાગવતને આપવામાં આવેલી 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે મોટો વિવાદ ઊભો થયો છે. મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં એક જાહેર હિત અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે, જેમાં માગણી કરવામાં આવી છે કે આ સુરક્ષા કવચનો ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવે અને સરકારી તિજોરીમાંથી નહીં. આ અરજીએ રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા જગાવી છે. આ અરજી નાગપુર સ્થિત સામાજિક કાર્યકર્તા લાલન કિશોર સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાની અરજીમાં સ્પષ્ટતા કરી છે કે આરએસએસ રજિસ્ટર્ડ સંગઠન ન હોવા છતાં તેને ઉચ્ચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ સુરક્ષાનો ખર્ચ કરદાતાઓના પૈસામાંથી સીધો ચૂકવવામાં આવી રહ્યો હોવાથી, તે સરકારી તિજોરી પર મોટો નાણાકીય બોજ નાખી રહ્યો છે. તેથી, એવી માગણી કરવામાં આવી છે કે કોર્ટ સંબંધિત વ્યક્તિ પાસેથી આ ખર્ચ વસૂલવાનો નિર્દેશ આપે. અરજીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાજ્ય સરકારના નાણાં વિભાગને પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે. આ મામલાની સુનાવણી 20 એપ્રિલે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થશે. તેથી, બધાનું ધ્યાન આ સુનાવણી પર છે. અરજદારના મતે, 'ઝેડ પ્લસ' સુરક્ષાનો ખર્ચ દર મહિને આશરે 40 થી 45 લાખ રૂપિયા છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ખર્ચ કરદાતાઓના પૈસામાંથી થઈ રહ્યો હોવાથી, તે જાહેર ભંડોળનો દુરુપયોગ છે. તે 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાનો પણ ઉલ્લેખ કરે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવી સુરક્ષાનો ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવો જોઈએ. દાવો કરો કે અરજી જાહેર હિતમાં છેઅરજદારે જણાવ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે જાહેર હિતમાં છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમાં કોઈ વ્યક્તિગત હિત નથી. સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાની અને ‘ઝેડ પ્લસ’ સુરક્ષાનો ખર્ચ તાત્કાલિક સંબંધિત પક્ષો પાસેથી વસૂલ કરવાની માગ કરવામાં આવી છે. હવે સમગ્ર રાજ્ય હાઈકોર્ટ આ અંગે શું નિર્ણય લેશે તેના પર નજર રાખી રહ્યું છે.
સિટી એન્કર:ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન
ઝૂંપડપટ્ટી ભાગના શૌચાલયોની સ્વચ્છતા માટે મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે પાંચ નવા વાહન ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકા પાસેના પહેલાંના વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી નવા વાહનોની ખરીદી કરવામાં આવશે. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. આ બાબતના પ્રસ્તાવને સ્થાયી સમિતિની મંજૂરી મળ્યા પછી ટૂંક સમયમાં આ વાહનો ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના કાફલામાં દાખલ થશે. મુંબઈ સ્વચ્છ અને સુંદર રહે એ માટે મહાપાલિકા તરફથી સતત વિવિધ ઉપક્રમ અને ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવે છે. તેમ જ મુંબઈની ગંદકી દૂર કરવા મહાપાલિકાનું ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ વિવિધ પ્રયત્ન કરે છે. ઝૂંપડપટ્ટી ભાગના સાર્વજનિક શૌચાલયની ગંદા પાણીની ટાંકીઓની સ્વચ્છતા માટે મહાપાલિકા વિશેષ વાહનનો ઉપયોગ કરે છે. હાલની સ્થિતિમાં મહાપાલિકાના કાફલામાં શૌચકૂપ સ્વચ્છ કરતા પાંચ વાહન છે. આ બધા વાહન આઠ વર્ષ જૂના થયા છે. પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણના નિયમ અનુસાર વાહનની આયુમર્યાદા આઠ વર્ષ થયા બાદ એનો ઉપયોગ કરી શકાતો નથી. પહેલાંના પાંચ વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી હવે નવા વાહનોની ખરીદી કરવી જરૂરી છે. આ વાહનો માટે મહાપાલિકાએ ડિસેમ્બર 2025માં ટેંડર જારી કર્યા હતા. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એના માટે ત્રણ ટેંડર મળ્યા હતા. એમાંથી એક કોન્ટ્રેક્ટરને મહાપાલિકાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યો. વિવિધ મુદ્દા ધ્યાનમાં લઈને ચર્ચાના અંતે સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી. એ અનુસાર હવે ટૂંક સમયમાં શૌચકૂપ સ્વચ્છ કરતા પાંચ નવા વાહન મહાપાલિકાના કાફલામાં દાખલ થશે. વોર્ડ દીઠ વાહનની માગણીદરમિયાન નવા વાહનોના સમાવેશથી ઝૂંપડપટ્ટી ભાગના સ્વચ્છતા કામ વધુ કાર્યક્ષમતાથી પાર પાડી શકાશે એવો વિશ્વાસ મહાપાલિકાના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. જો કે સંપૂર્ણ મુંબઈ માટે ફક્ત પાંચ વાહન ઓછા પડતા હોવાથી મહાપાલિકાના દરેક પ્રશાસકીય વોર્ડ દીઠ એક વાહન ઉપલબ્ધ કરવું એવી માગણી મહાપાલિકા સમક્ષ કરવામાં આવી છે.
ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી:મુંબઈમાં 209 કરોડના દાણચોરીનાં કલીંગડ બીજ, લીલા વટાણા અને ચીની ફટાકડા જપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે જોરદાર કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા બે દિવસમાં બે પ્રકરણમાં 139 કરોડના આયાત કરાયેલા કલીંગડ બીજ અને લીલા વટાણાની દાણચોરી સંબંધે કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે તેમ જ બીજા કેસમાં 70 કરોડના ચીની ફટાકડા જપ્ત કર્યા છે. વિશ્વસનીય માહિતીને આધારે ડીઆરઆઈ દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે કન્ટેઈનરોની તલાશી લેવામાં આવી હતી. તે સમયે તુવેર દાળ તરીકે ઘોષિત કરાયેલાં 132 કન્ટેઈનરોમાંથી 3029 મેટ્રિક ટન કલીંગડ બીજ અને લીલા વટાણા મળી આવ્યા હતા. તુવેર દાળ હોવાનું દર્શાવીને 2710 મે.ટન કલીંગડ બીજ તાંઝાનિયા અને સુદાનથી આયાત કરાયા હતા, જ્યારે 319 મે.ટન લીલા વટાણા કેનેડાથી આયાત કરાયા હતા, એમ ડીઆરઆઈના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. નોંધનીય છે કે ઘરઆંગણાના ખેડૂતોનું આછી કિંમતની આયાતોથી રક્ષણ કરવા માટે સરકાર દ્વારા આ ચીજો પર સખત આયાત નિયંત્રણ લાદ્યાં છે. આ અંગે નોટિફિકેશન જારી કર્યાં છે. આયાત લઘુતમ કિંમતને આધીન અને કોલકતા બંદર થકી જ નિયંત્રિત છે. આમ છતાં આયાતી કંપનીના ડાયરેક્ટરે તુવેરની આડમાં આ દાણચોરીનો પ્રયાસ કર્યો હતો, જેથી રવિવારે તેની ધરપકડ કરાઈ હતી. બીજા એક કેસમાં પ્રતિબંધ છતાં ચીની ફટાકડા દાણચોરીથી ભારતમાં લાવવામાં આવી રહ્યા છે એવી માહિતીને આધારે ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે ન્હાવા શેવામાં તલાશી હાથ ધરી હતી. આ ઓપરેશનને ‘‘ઓપરેશન પાયરો હિસ્ટ’’ નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં શંકાસ્પદ કન્ટેઈનરોની તલાશી લેવામાં આવી હતી. બારીકાઈથી તલાશી લેવામાં આવતાં અમુક કન્ટેઈનરોમાંથી 70 મે.ટન ચીની ફટાકડા મળી આવ્યા હતા, જેનું મૂલ્ય આશરે રૂ. 17.07 કરોડ થાય છે. આ દાણચોર ટોળકીના બે જણની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ટોળકીએ કસ્ટમ્સ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે ઉત્તમ નિયોજનબદ્ધ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. કેન્સાઈનમેન્ટને નિરુપદ્રવી માલો તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપીઓએ કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાંથી આ દાણચોરીનો માલ ચાલાકીપૂર્વક કાઢીને ફેરબદલી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આયાતી કન્ટેઈનરોમાંથી ફટાકડા અન્ય વાહનમાં લાદવામાં આવતા હતા ત્યારે તેમને રંગેહાથ ઝડપી લેવાયા હતા. આ માટે કન્ટેઈનરના સીલમાં તેમણે ચેડાં કર્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગ દ્વારા સુધારેલું નવું ધોરણ:સરકારી ભૂખંડ ભાડે આપવા હવે 30ના બદલે 49 વર્ષની મર્યાદા
રાજ્યના વિવિધ સરકારી વિભાગો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી ઉપાય તરીકે આવક વધારવા સરકારી ભૂખંડ હવે 49 વર્ષ માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ ભાડે આપેલી સરકારી જમીનના કરારનું નૂતનીકરણ કરવા છૂટ આપવામાં આવી છે. મહેસૂલ વિભાગે આ સંદર્ભે સુધારેલું ધોરણ જાહેર કર્યું છે. સરકારી જમીન ભાડે આપવાનો સમય 30 વર્ષથી વધારીને 49 વર્ષ કરવા જાન્યુઆરી મહિનામાં મંત્રીમંડળ બેઠકમાં માન્યતા આપવામાં આવી હતી. આ નિર્ણય અનુસાર મહેસૂલ વિભાગે સરકારના વિવિધ પ્રશાસકીય વિભાગ અને તેમની અખત્યાર હેઠળના મહામંડળ, પ્રાધિકરણોની જમીન વ્યવસાયિક કારણોસર ભાડે આપવા બાબતે નવો નિર્ણય જાહેર કર્યો છે. એ અનુસાર હવે રાજ્યના વિવિધ વિભાગના અને ઉપક્રમની માલિકીના મોટા ભૂખંડ હવે 49 વર્ષના સમયગાળા માટે ભાડે આપી શકાશે. મહેસૂલ વિભાગે જારી કરેલા પરિપત્ર અનુસાર આ પહેલાં ભાડે આપવામાં આવેલા ભૂખંડના કરારની શરતો અને ધોરણનું ઉલ્લંઘન થયું ન હોય તો ભાડાકરારની મુદત વધારી શકાશે. વધુમાં વધુ બે વખત 49 વર્ષ માટે સરકારી ભૂખંડ ભાડેથી આપી શકાશે. મહેસૂલ વિભાગ તરફથી સીધા ભાડે આપેલા ભૂખંડોને આ નિયમ લાગુ રહેશે. તેમ જ જેમના ભાડાકરાર અત્યારે અસ્તિત્વમાં છે એવા વિભાગોને કરારનું ઉલ્લંઘન થયું હોય તો તે નિયમિત કરીને જ નૂતનીકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વ્યવસાયિક વપરાશ માટે ભૂખંડ આપતા નવી સમયમર્યાદાનું પાલન કરવું ફરજિયાત રહેશે. જિલ્લાધિકારીઓ પર જવાબદારીકોઈ પણ સરકારી વિભાગ અથવા ઉપક્રમ યોગ્ય ભાડુ નક્કી કરીને પોતાનો ભૂખંડ ભાડેથી આપી શકે છે. આ પ્રક્રિયા પર નિયંત્રણ રાખવાની જવાબદારી જિલ્લાધિકારીઓ પર સોંપવામાં આવી છે. ભાડાની રકમ સમયસર સરકારી તિજોરીમાં જમા કરવી અને ભાડામાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યાની ખાતરી કરવાનો નિર્દેશ જિલ્લાધિકારીઓને આપવામાં આવ્યો છે.
એમએમઆરડીએ દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું:મુંબઈ 3.0 માટે રાયગઢમાં 216 એકર જમીન સંપાદન
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ‘મુંબઈ 3.૦’ નામના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રાયગઢ જિલ્લામાં પ્રસ્તાવિત ગ્રોથ સેન્ટર માટે 216 એકર જમીન સંમતિના આધારે સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની આ પહેલને જમીન માલિકો તરફથી પ્રથમ જ દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે પ્રોજેક્ટને વાસ્તવિક ગતિ આપનાર સાબિત થયો છે. આ યોજના સમતિ દ્વારા વિકાસ, વિસ્થાપન દ્વારા નહીંના સિદ્ધાંત પર આધારિત છે. એમએમઆરડીએ પરંપરાગત જમીન સંપાદન પદ્ધતિથી અલગ જઈને જમીન માલિકોને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાની નવી નીતિ અપનાવી છે. જમીન માલિકોને સીધી નાણાકીય ચૂકવણી ઉપરાંત એફએસઆઈ/ટીડીઆર જેવા વિકલ્પો તેમજ લેન્ડ પૂલિંગ દ્વારા વિકસિત પ્લોટના 22.5 ટકા પરત આપવાની યોજના રજૂ કરવામાં આવી છે. રાયગઢ-પેન ગ્રોથ સેન્ટર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળે વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર અટલ સેતુ, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને વિરાર-અલીબાગ મલ્ટી-મોડલ કોરિડોર જેવા પ્રોજેક્ટ્સની નજીક આવેલો છે, જેના કારણે આ પ્રોજેક્ટનું મહત્વ વધુ વધી ગયું છે.
નાશિક ટીસીએસમાં થયેલો ચર્ચિત મામલો:ટીસીએસમાં જાતીય શોષણ મામલે મુખ્ય સૂત્રધાર નિદા ખાન સસ્પેન્ડ
નાશિકમાં એક જાણીતી આઈટી કંપનીમાં થયેલા જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન સંબંધિત ગંભીર મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલી નિદા ખાન હાલમાં તપાસ એજન્સીઓના રડાર પર છે, અને ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે સોમવારે નાશિક જિલ્લા સેશન્સ કોર્ટમાં નિદા ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. લગભગ એક કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે વધુ સુનાવણી 27 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, નિદા ખાન પર નાશિકમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવાનો આરોપ છે. તપાસકર્તાઓ તેને આ સમગ્ર રેકેટની મુખ્ય સૂત્રધાર ગણાવી રહ્યા છે. સાથે જ, કેસમાં જાતીય શોષણના ગંભીર આક્ષેપો પણ સામેલ છે, જેને કારણે મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. મહત્ત્વની વાત એ છે કે, નિદા ખાન ગર્ભવતી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને તેની તરફથી આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે. જોકે, પોલીસ તેની શોધખોળ માટે સતત પ્રયાસ કરી રહી છે.
2 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીને પણ ઓફિસ મળશે:નવા મંત્રાલયમાં સૌથી વધુ ઓફિસ સ્પેસ સીએમઓને
મહાયુતિ સરકારના મંત્રીઓ માટેની મંત્રાલયની ઈમારતમાં જગ્યા ઓછી પડી રહી છે. તેથી મંત્રાલયની બાજુમાં જ નવી એનેક્સ 2 ઈમારત ઊભી થઈ રહી છે. આ ઈમારતમાં બે કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીને કાર્યાલય મળશે. એનેક્સ 2માં સંપૂર્ણ પહેલા માળ પર મુખ્યમંત્રી કાર્યાલયને એટલે કે સીએમઓને સાત હજાર સ્કવેર ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે. મંત્રાલયની અત્યારની ઈમારતમાં સીએમઓ પાસે 9 હજાર સ્કવેર ફૂટ જગ્યા છે. હવે બંને ઈંમારતમાં મળીને સીએમઓને કુલ 16 હજાર સ્કવેર ફૂટ જગ્યા મળશે. અત્યારે અનેક સરકારી કાર્યાલય નરિમાન પોઈંટથી જીટી હોસ્પિટલ ખાતેના મિની મંત્રાલયમાં છે. તેથી લગભગ 110 કરોડ રૂપિયા ખર્ચ કરીને ગાર્ડન ગેટ નજીક નવી પાંચ માળાની એનેક્સ ઈમારત બાંધવામાં આવી. આમ તો આ ઈમારત પ્રી ફેબ ટેકનોલોજીથી 100 દિવસમાં પૂરી કરવાનો ઉદ્દેશ હતો. પણ કોન્ટ્રેક્ટરનું કામ ધીમી ગતિએ ચાલુ છે. હવે 31 જુલાઈ સુધી ઈમારત પૂરી કરવાનો નિર્દેશ સાર્વજનિક બાંધકામ વિભાગે આપ્યો છે. પણ કોન્ટ્રેક્ટરે 31 ઓગસ્ટ સુધીની મુદત માગી છે. જો કે એનેક્સ 2માં અત્યારથી જ જગ્યાની વહેંચણી કરવામાં આવી છે. સંબંધિત વિભાગોને કાર્યાલયના કામ કરવા માટે વહેંચણી કર્યાનું જણાવવામાં આવે છે. નવી ઈમારતમાં કેબિનેટ મંત્રીઓને 1600થી 1700 સ્કવેર ફૂટ જગ્યા તો રાજ્યમંત્રીઓને 1400થી 1500 સ્કવેર ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે. ઉપરાંત મંત્રાલયની બહારના તબીબી શિક્ષણ, સાર્વજનિક આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓને નવી ઈમારતમાં જગ્યા ઉપલબ્ધ થઈ છે.
કમિશ્નરનો આદેશ:ચોમાસામાં લોકોની હેરાનગતિ ટાળવા 30 એપ્રિલ પછી રસ્તા ખોદકામ બંધી
શહેર અને ઉપનગરોમાં અત્યારે રસ્તાઓનું કોંક્રિટીકરણ, ડામરીકરણના કામ ઝડપી કરવામાં આવ્યા છે. જો કે ચોમાસામાં નાગરિકોને હેરાનગતિ ન થાય એ માટે 30 એપ્રિલ પછી કોઈ પણ ખોદકામ કરવા નહીં અને 15 મે પહેલાં અત્યારે ચાલી રહેલા કામ પૂરા કરવા એવી સૂચના મુંબઈ મહાપાલિકા કમિશનર અશ્વિની ભીડેએ અધિકારીઓને આપી છે. મહાપાલિકાના રસ્તા કોંક્રિટીકરણ પ્રકલ્પના તબક્કા 1 અને 2 અંતર્ગત 1204 રસ્તાઓનું, 327.69 કિલોમીટર લાંબા રસ્તાઓનું કામ પૂરું થયું છે. 532 રસ્તાઓના કામ અંશતઃ પૂરા થયા છે તો 169.14 કિમી રસ્તાઓનું કોંક્રિટીકરણ થયું છે. એકંદરે અત્યાર સુધી કુલ 73.39 ટકા રસ્તાઓનું કોંક્રિટીકરણ પૂરું થયું છે. મુંબઈને ખાડામુક્ત કરવા સાથે પરિવહન વધુ સુરક્ષિત, ઝડપી, થવાના ઉદ્દેશથી આ પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. કોંક્રિટ રસ્તા પર ચોમાસામાં ખાડા પડવાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેથી દેખભાળ અને રિપેરીંગ ખર્ચ પણ ઓછો થશે. જો કે એક જ સમયે અનેક ઠેકાણે રસ્તાઓનું કામ ચાલુ છે. તેથી એ ચોમાસા પહેલાં પૂરા કરવાની સૂચના કમિશનરે આપી છે. આઈઆઈટી દ્વારા ઓડિટરસ્તા કોંક્રિટીકરણના કામ દરજ્જાવાળા અને ગુણવત્તાપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. જો કે એની તપાસ કરવા મહાપાલિકાએ કરાર દ્વારા આઈઆઈટી મુંબઈની થર્ડ પાર્ટી તરીકે નિયુક્તી કરી છે. કોંક્રિટ મિશ્રણ બનાવવાથી લઈને રસ્તાઓના કામ પૂરા થાય ત્યાં સુધીના તબક્કામાં ટ્યુબ ટેસ્ટ, કોર ટેસ્ટ, ડ્યુરેબિલિટી ટેસ્ટ, ફિલ્ડ ડેન્સિટી ટેસ્ટ, વગેરે ટેસ્ટ આઈઆઈટીએ કરી છે. કોંક્રિટીકરણ પછી ખાડા ખોદવા મનાઈરસ્તાઓના કામ પૂરા કરતા મહાપાલિકા વોટર એન્જિનિયર, પાઈપલાઈન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, મળનિસણ પ્રચલન, મળનિસરણ પ્રકલ્પ, વગેરે વિવિધ વિભાગ અને વિદ્યુત, ગેસ વિતરણ, મોબાઈલ વગેરે સંબંધિત કંપનીઓ સાથે સમન્વય રાખવામાં આવે છે. કોંક્રિટીકરણ થયેલા રસ્તાઓ પર કોઈ પણ સંસ્થાને ખોદકામ કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
સિટી એન્કર:ઉત્તન-વિરાર સીલિન્ક દ્વારા નરિમાન પોઈંટથી સીધા વિરાર-પાલઘર
મુંબઈના કોસ્ટલ રોડના ઉત્તર તરફના ભાગમાં ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. એના માટે રાજ્ય સરકારે વિગતવાર પ્રકલ્પ અહેવાલને મંજૂરી આપી છે. પર્યાવરણ સંબંધિત તમામ પરવાનગીઓ પણ આપવામાં આવી છે. આ પ્રકલ્પ માટે મે 2026થી ટેંડર મગાવવાની શરૂઆત કરવામાં આવશે. મુંબઈના અટલ સીલિન્ક કરતા પણ લાંબો આ પ્રસ્તાવિત સીલિન્ક હશે. ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ 55.12 કિલોમીટર લાંબો હશે. આ રોડના કારણે દક્ષિણ મુંબઈના નરિમાન પોઈંટથી વિરાર અને આગળ પાલઘર સુધીનો પ્રવાસ સહેલો અને ઝડપી થશે. ઉત્તર અને દક્ષિણ કિનારાપટ્ટીના જોડતો આ રોડ આઠ લેનનો હશે. અત્યારે 90 મિનિટમાં થતો આ પ્રવાસી સીલિન્કના લીધે 30 થી 40 મિનિટમાં પૂરો થશે. આ રોડ પર એક મુખ્ય સીલિન્ક, એપ્રોચ રોડ, અનેક ઈંટરચેન્જનો સમાવેશ હશે. પણ આ સીલિન્ક પ્રકલ્પ માટે 100 હેકટર મેનગ્રોવ્ઝ બાધિત થશે. આ પ્રકલ્પનું કામ બે તબક્કામાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં ઉત્તનથી વિરાર દરમિયાન 24.35 કિલોમીટર લાંબો સીલિન્ક ભાઈંદર નજીક જોડવામાં આવશે. એમાં સીલિન્ક અને એપ્રોચ રોડ એમ બે મહત્વના રોડનો સમાવેશ છે. ઉત્તનને જોડતો 9.32 કિમી રોડ, વસઈને જોડતો 2.5 કિમી રોડ અને વિરાર સુધી 18.95 કિમી લાંબા રોડનો સમાવેશ છે. આ પ્રકલ્પ માટે અત્યારે 58 હજાર 754 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. દરમિયાન આ પ્રકલ્પના બીજા તબક્કામાં આ રોડને આગળ પાલઘર સુધી જોડવામાં આવશે. આ રોડના લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એસવી રોડ અને લિન્ક રોડ પરનો ટ્રાફિકજામ ઓછો થવામાં મદદ થશે. અનેક મહત્વકાંક્ષી પ્રકલ્પ ચાલુમુંબઈમાં અત્યારે અનેક મહત્વકાંક્ષી પ્રકલ્પના કામ ચાલુ છે. એનો જ એક ભાગ ઉત્તન-વિરાર સીલિન્ક પણ છે. બીજા મહત્વના પ્રકલ્પોમાં મુંબઈનો કોસ્ટલ રોડ, બાન્દરા-વરલી સીલિન્ક, અટલ સેતુ, ઓરેંજ ગેટ ટનલ, વર્સોવા-બાન્દરા સીલિન્ક, ઉત્તર કોસ્ટલ રોડ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને શિવરી-વરલી કનેક્ટરનો સમાવેશ છે.
ગુજરાતના સુરત શહેરમાં ગેસની ગંભીર અછતની સ્થિતિની અસર હવે મોટા પાયે જોવા મળી રહી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રોહિણી ખડસેએ આ સંદર્ભમાં રાજ્ય સરકારને સીધી ચેતવણી આપી છે. મધ્ય- પૂર્વમાં યુદ્ધને કારણે એલપીજી સંકટ ભારતના ઘણા ભાગોને અસર કરી રહ્યું છે, અને તેની ગંભીર અસરો સુરતમાં જોવા મળી રહી છે. ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને મજૂરો તેમની નોકરી ગુમાવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.સુરતમાં પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે ઘણી કંપનીની ઇમારતોને તાળા લાગી ગયા છે. હજારો દૈનિક વેતન કામદારો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને રસોઈ ગેસની અછતને કારણે, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, નાની હોટલો અને ઢાબા બંધ થઈ ગયા છે. આનાથી આ વ્યવસાય પર નિર્ભર પરિવારોની આવક સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પરિણામે, મોટી સંખ્યામાં કામદારોને તેમના ગામોમાં પાછા ફરવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિની સીધી અસર સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં સીટ મેળવવા માટે હજારો મજૂરો અને મુસાફરો સ્ટેશન પર એકઠા થયા હતા. આ વિશાળ ભીડને કારણે અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે.રોહિણી ખડસેએ સોશિયલ મિડિયા પર આ સંદર્ભમાં એક વિડિયો શેર કરીને પોતાની તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે સુરતનાં દ્રશ્યો ખૂબ જ પીડાદાયક છે. ગેસની અછતને કારણે મજૂરોના હાથમાંથી રોજગાર અને ખોરાક બંને છીનવાઈ ગયા છે. હજારો લોકો તેમના પરિવારો સાથે પાછા ફરતા જોવા મળે છે તે ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, એમ તેમણે સમજાવ્યું. આ સાથે તેમણે મહારાષ્ટ્રની પરિસ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. થોડા દિવસો પહેલાં ગેસની અછતને કારણે મુંબઈ અને પુણે શહેરોમાં હોટલ અને રેસ્ટોરાં બંધ થઈ ગયા હતા. રોજગાર માટે મોટા શહેરોમાં આવેલા યુવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ભય વ્યક્ત કર્યો છે કે આ પરિસ્થિતિ સુરત જેવી જ હોઈ શકે છે. મુંબઈ અને પુણેમાં વિકટ સ્થિતિરોહિણી ખડસેએ સરકારની ટીકા કરતા કહ્યું કે જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે ત્યારે સરકાર નિષ્ક્રિય લાગે છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો મુંબઈ અને પુણે જેવા શહેરોમાં સુરત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી, તેમણે સરકારને ગેસ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અને મજૂરોની સમસ્યાઓ પર ગંભીર ધ્યાન આપવાની અપીલ કરી છે.
લાશ મળી:ચાર દિવસથી ગુમ પરિણીતાની લાશ કૌટુંબિક જેઠની વાડીના કૂવામાંથી મળી
રાજકોટ શહેરના છેવાડે આવેલા જામગઢ ગામે ચાર દિવસથી ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ પોતાના જ ખેતરના કૂવામાંથી મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. બનાવથી ચાર દીકરી અને એક દીકરાએ માતાની મમતા ગુમાવી છે. કુવાડવા પંથકના જામગઢમાં રહેતી રેખાબેન કિશોરભાઈ ગોહેલ(ઉં.વ.38) ગત 16 એપ્રિલની રાત્રે અંદાજે દશેક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઇ પત્તો ન મળતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. સોમવારે સવારે આશરે 11 વાગ્યે રેખાબેનનો મૃતદેહ તેમના કૌટુંબિક જેઠ હરેશ પ્રાગજીભાઈ ગોહેલની વાડીમાં આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ એમ.જી. સોલંકી સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકના પતિ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મોતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગરીબ પરિવારોને આરોગ્ય ક્રક્ષેત્રે ક્ષા પૂરી પાડવા સરકારે આયુષ્માન (PMJAY) યોજના અમલમાં મુકી છે. જોકે, આ યોજનાનો લાભ લેતા હજારો એવા પરિવારો છે જેમની આવક મર્યાદા વર્ષો બાદ વધી ગઈ હોવા છતાં તેઓ હજુ પણ જૂના કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારના નિયમ મુજબ આવક મર્યાદાની બહાર જનાર આસામીઓના કાર્ડ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ આ કાર્ડ રિન્યૂ કરાવવા માટે 31/03/2026 સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ અનેક લોકો જાણકારીના અભાવે આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નહોતા. હવે લાખો લોકોના હિતને ધ્યાને રાખીને સરકારે રિન્યૂઅલની મુદત એક માસ લંબાવીને 30/04/2026 કરી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જે અરજદારોએ આવકના દાખલાના આધારે કાર્ડ કઢાવ્યા છે અને જેમના દાખલાની મુદત પૂર્ણ થઈ છે, તેઓએ ફરજિયાતપણે કાર્ડ રિન્યૂ કરાવવું પડશે. જો 30 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો કાર્ડ સરકાર સ્થગિત અથવા રદ કરી દેશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં આયુષ્માન યોજનામાં વધુ કડક નિયમોની અમલવારી થવાની સંભાવના છે, જેનાથી માત્ર પાત્રતા ધરાવતા લોકોને જ લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. ભાસ્કર એક્સપ્લેનર | કાર્ડ રિન્યૂઅલ ગાઈડલાઈન આવકના દાખલાની સાથે જ કાર્ડની મુદત પૂર્ણ થશેસરકારે આયુષ્માન યોજનાની સિસ્ટમમાં મોટો ટેક્નિકલ ફેરફાર કર્યો છે. અગાઉ કાર્ડ અને આવકના દાખલાની મુદત અલગ-અલગ રહેતી હતી, પરંતુ હવે બંનેને લિંક કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, જે દિવસે તમારા આવકના દાખલાની મુદત પૂર્ણ થશે, તે જ દિવસે આયુષ્માન કાર્ડ પણ પોર્ટલ પર આપોઆપ નિષ્ક્રિય થઈ જશે. અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદત ગણીને નવો આવકનો દાખલો રજૂ કરવો પડશે અને ત્યારબાદ જ કાર્ડ ફરી સક્રિય થઈ શકશે. આ ફેરફારને કારણે હવે કાર્ડધારકોએ દર વર્ષે પોતાની આવકની સ્થિતિ પ્રમાણિત કરવી પડશે. સરકારી કર્મીઓ સામે કાર્યવાહીના નિર્દેશઆ યોજનાનો લાભ અનેક એવા સરકારી કર્મચારીઓ પણ લઈ રહ્યા છે જેમના પગાર અને ભથ્થામાં છેલ્લા થોડા વર્ષોમાં મોટો વધારો થયો છે. નિયમ મુજબ જે કર્મચારીઓની આવક નિર્ધારિત મર્યાદાથી વધી ગઈ છે, તેઓ હવે આ યોજના માટે પાત્ર નથી. છતાં લાભ લેતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ નજીક લોઠડા ગામે દીકરી અંગે ખોટી વાતોનો વિરોધ કરનાર પિતાને જ નિશાન બનાવી પાડોશીઓએ ધોકા-પાઈપથી હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી છે. લોઠડા ગામે શિવ મેન્યુફેક્ચર કંપની પાસે રહેતા ઉત્તરપ્રદેશના રામભવન નન્હેલાલ પાસવાન(ઉ.30) પર રવિવારે રાત્રે હુમલો થયો હતો. તેની પત્નીએ તેને બંને હાથમાં ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. શરૂઆતમાં રામભવને પડવાથી ઇજા થઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ તબીબોને શંકા જતા પૂછપરછમાં સત્ય બહાર આવ્યું હતું. રામભવને પોલીસને જણાવ્યું કે, પાડોશમાં રહેતા બિહારના ઇન્દર અને રાજકોટના રમેશ તેની આઠ વર્ષની દીકરી અંગે અયોગ્ય વાતો કરતા હતા. આ બાબતે અગાઉ ચેતવણી આપ્યા છતાં રવિવારે ફરી બોલાચાલી થઈ હતી. જેના કારણે બંને શખ્સે ગુસ્સે આવી ધોકા અને લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો, જેમાં રામભવનના બંને હાથ ભાંગી ગયા હતા. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
હિંસક બનાવ સામે આવ્યો:દારૂ પકડાવ્યાની શંકાએ તલવાર-ધારિયાથી હુમલો: ગરુડ ગરબી ચોકમાં ધમાલ
રાજકોટ | રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દારૂના જથ્થા અને તેના સંબંધિત વિવાદો વચ્ચે હિંસક બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલી રિક્ષા ઝડપી લેતાં બાતમી આપ્યાની શંકાએ ચાર શખ્સે સમાધાનના બહાને બોલાવી તલવાર અને ધારિયાથી હુમલો કરતાં બે કૌટુંબિક ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રામનાથપરા વિસ્તારના સાકીરીખાન હમીદખાન યુસુફીને રાત્રે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, દારૂના કેસમાં પકડાયેલા બિલાલ મામલે ગરુડ ગરબી ચોક ખાતે સમાધાન માટે ટીકુ પઠાણ, તેનો ભાઈ ચંગો, સાહિલ પરમાર અને અસીમ પરમાર ભેગા થવાના છે. જેથી સાકીરીખાન ત્યાં પહોંચ્યો હતો. ચારેય શખ્સ વાહનોમાં તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને નોઇનખાન સાથે ગાળો આપી મારકૂટ શરૂ કરી હતી. વચ્ચે પડેલા સાકીરીખાનને પણ નિશાન બનાવી તેના પગમાં ધારિયા અને તલવારના ઘા ઝીંકી દેતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. વધુ હુમલો ટાળવા માટે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદ આધારે ટીકુ પઠાણ, ચંગો, સાહિલ પરમાર અને અસીમ પરમાર સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
JEE મેઈન:AIR 16 અને 100 PR સાથે રાજકોટનો નિમય પુરોહિત ગુજરાત ટોપર બન્યો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સોમવારે રાત્રે જેઈઈ મેઈન-2026નું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે દેશમાં પોતાની ધાક જમાવી છે. એલન રાજકોટના તેજસ્વી વિદ્યાર્થી નિમય પુરોહિતે જાન્યુઆરીના પ્રથમ સત્ર બાદ એપ્રિલમાં લેવાયેલી બીજા સત્રની પરીક્ષામાં પણ 100 પર્સેન્ટાઈલ (NTA સ્કોર) પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિમયે દેશભરના 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા 16મો રેન્ક પ્રાપ્ત કરી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વર્ષે JEE મેઈન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 15,38,468 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ગુજરાતની વાત કરીએ તો આશરે 1,56,038 વિદ્યાર્થી (SC, ST, OBC, EWS અને જનરલ કેટેગરી) મેદાનમાં હતા, જેમાં રાજકોટ સેન્ટર પરથી 2,000થી વધુ વિદ્યાર્થીએ જેઈઈ મેઈન્સની પરીક્ષા આપી હતી. આ સ્કોર સાથે દેશના ટોચના 2,50,000 વિદ્યાર્થી હવે જેઈઈ એડવાન્સ્ડ માટે લાયક ઠર્યા છે. રાજકોટના સફળ થયેલા વિદ્યાર્થીઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ડોક્ટર દંપતીનો પુત્ર હવે દેશની ટોચની IITમાં ભણશે એન્જિનિયરિંગનિમય પુરોહિતના માતા-પિતા બંને સફળ ડોક્ટર છે. પિતા ડૉ.હર્ષલ પુરોહિત અને માતા ડૉ.દર્શના પુરોહિત તબીબી વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં, નિમયે નાનપણથી જ ગણિત અને એન્જિનિયરિંગમાં રસ દાખવ્યો હતો. ડોક્ટર દંપતીએ પણ પુત્રની રુચિને માન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નિમય છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યો હતો. તેને સોશિયલ મીડિયાથી દૂરી બનાવી રાખવી અને દરરોજ 10થી 12 કલાકના સતત પરિશ્રમનું આ ફળ મળ્યું છે. હવે તે દેશની ટોચની IIT મુંબઈમાં કમ્પ્યૂટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવાનો લક્ષ્યાંક છે. કેટેગરી વાઈઝ ક્વોલિફાઈંગ કટ-ઓફ જાહેર કરાયું JEE મેઇનના બીજા સત્રમાં દેશમાં 26 વિદ્યાર્થીને 100 PR મળ્યા, ગુજરાતમાંથી એકમાત્ર નિમયNTA દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, આ વર્ષે દેશભરમાંથી કુલ 26 વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ સ્કોર મેળવ્યો છે. આ યાદીમાં ગુજરાતમાંથી એકમાત્ર નિમય પુરોહિતે જ ટોપ ટેબલ પર સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે, જાન્યુઆરીના પ્રથમ સત્રમાં પણ નિમયે 100 PR મેળવ્યા હતા અને એપ્રિલમાં તે જ દેખાવનું પુનરાવર્તન કર્યું છે. NTAના નિયમ મુજબ, બંને સત્રમાં હાજર રહેલા વિદ્યાર્થીઓનો જે સત્રમાં સ્કોર વધુ હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે.
ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકો મહિલાઓના નંબર પરથી પ્રચાર કરવા સુધીની ચેષ્ટા કરવામાં શરમાતા નથી તેવી બાબત સામે આવી છે. ઈનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની કે જેના દર્શિત જાની પણ ભાજપમાં સક્રિયા છે તેઓએ પોતાની શાળાની શિક્ષિકાઓના મોબાઇલ પ્રચારના ટૂલ તરીકે ઉપયોગકર્યા છે. ઇનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની છે. તેમણે ભાજપના પ્રકાર માટે શિક્ષિકાઓના નંબર જાહેર કરવાની વિકૃત ચેષ્ટા કરી છે. સ્કૂલના કર્મચારી રાજેશ જોટવાએ શિક્ષિકાઓ પાસેથી મોબાઈલ જમા કરાવવા માટે માગ્યા હતા. મોબાઈલ લેવા માટે રેખાબેન નામના મહિલાકર્મીને મોકલ્યા હતા. જ્યારે શિક્ષિકાઓ પાસે ફોન આવ્યો તો ખબર પડી કે તેમના મોબાઈલમાંથી 50-50 લોકોને ભાજપના પ્રચારના મેસેજ પહોંચી ગયા છે અને ઘણાએ તો ફોન અને મેસેજ કરી મતદાર સ્લિપ માગવાનું ચાલુ કરી દીધું છે. જેમને મેસેજ ગયા તે પૈકીના ઘણા અજાણ્યા તો અમુક વિદ્યાર્થીઓના વાલીઓ છે. આ ઘટનાએ શિક્ષિકાઓને સ્તબ્ધ કરી દીધી હતી જોકે રાજેશ જોટવાએ બધાને મૌન રહેવા કહી દીધું હતું. આ મામલે ભાસ્કરે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા નિરેન જાનીએ તો ફોન જ સ્વિચ ઓફ કરી દીધો છે. જોટવાએ પહેલા નિરેનનું નામ દીધું પછી દર્શનાબેન બોલી ના પાડી દીધી!રાજેશ જોટવાને ભાસ્કરે સવાલ કર્યો હતો કે, શિક્ષિકાઓના નંબર પરથી મેસેજ કરાયો તેની શિક્ષિકાઓ પાસેથી લેખિત મંજૂરી લીધી હતી તો તેમણે ના પાડી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નિરેનભાઈને કીધું તો તેમણે હા પાડી હતી. ત્યારબાદ કહ્યું કે, સીધા તેમણે નથી કીધું પણ તેમનું સંભાળતા દર્શનાબેને કીધું છે. બાદમાં ફાળ પડતા ફોન જ કટ કરી નાખ્યો હતો. જાની બંધુ અને હિરેન ખીમાણિયા છે ભાગીદારભાજપના ઉમેદવાર હિરેન ખિમાણિયા તેમજ ભાજપના આગેવાન દર્શિત જાની અને નિરેન જાની ધંધાકીય રીતે ભાગીદારો છે. આ જ કારણ છે કે મહિલાઓના નંબર પરથી વાલીઓને મેસેજ કરાવીને તેમણે હલકી કક્ષાના પ્રચાર કરવામાં શરમ અનુભવી નથી.
STને અખાત્રીજ ફળી:લગ્નગાળો અને વેકેશનને કારણે એક્સ્ટ્રા 30 બસ દોડાવી
રાજ્યભરમાં અખાત્રીજના વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્નો યોજાયા હતા, જેની સીધી અસર ST નિગમની તિજોરી પર થઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની બસ હાઉસફૂલ દોડી, પરંતુ તેનાથી વધુ 30 એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી. રાજકોટ ડિવિઝનને અખાત્રીજના દિવસે રૂ.73 લાખથી વધુની જંગી આવક થઈ છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ રૂ.13 લાખ વધુ છે. આગામી દિવસોમાં મુસાફરોને હાલાકી ન પડે તે માટે 100 જેટલી વધારાની બસ દોડાવાશે. આ રૂટ ઉપર સૌથી વધુ ટ્રાફિક રહ્યો નિયમભંગ : આચારસંહિતાના અમલના 17 દિવસ પછી પણ ST બસમાં PM-CMની તસવીરો!સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ 1 એપ્રિલથી આચારસંહિતા લાગુ હોવા છતાં એસ.ટી. નિગમમાં તેનો સરેઆમ ભંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ બસપોર્ટ પર જોવા મળેલી કેશોદ ડેપોની બસ (GJ-18-ZT-3040) માં દરવાજાની સામે જ PM અને CMની તસવીરો તથા મુસાફરો માટેના હેન્ડલ પર સરકારી જાહેરાતો હજુ પણ યથાવત્ છે. આટલું જ નહીં, ઉપલેટા ડેપોની બસ (GJ-18-ZT-1802 અને GJ-18-Z-1963) માં પણ ડ્રાઈવરની પાછળ મુખ્યમંત્રી-પ્રધાનમંત્રીના ફોટાવાળી પત્રિકાઓ દૂર નથી કરાઈ. 17 દિવસ વીત્યા છતાં તસવીરો પર પડદા ન પાડતા કેશોદ અને ઉપલેટા ડેપોના જવાબદાર અધિકારીઓ સામે નોટિસ પાઠવી કાર્યવાહી કરવા માંગ ઊઠી છે.
સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજાનું રીપેરીંગ કરવાનું હોવાથી 15 એપ્રિલથી ત્રણ મહિના સુધી નદી ખાલી કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે સુભાષબ્રિજનું સુપર સ્ટ્રકચરને પણ તોડી પડાશે. નદી ખાલી થતાં જ કેટલાક લોકો ધૂળમાં સોનુ-ચાંદી અને સિક્કાઓ શોધતા જોવા મળ્યા હતા. જેને લઈ દિવ્ય ભાસ્કરે તેમને પૂછ્યું કે, શું શું મળે છે અને તેની કેટલી કિંમત ઉપજે છે? આ જવાબો જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો
રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં એક 33 વર્ષીય ઈમિટેશન વેપારીના પ્લોટ પર ગેરકાયદે કબજો કરી ધમકી આપવાના આક્ષેપો સાથે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં થોરાળા પોલીસ મથકમાં પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવ(ઉ.વ.33) નામના ઈમિટેશનના વેપારીએ આરોપી તરીકે ભૂપત અનક ખાચર અને રવિ ભૂપત ખાચરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે ફેબ્રુઆરી 2023માં નોંધાયેલા દસ્તાવેજથી ખુલ્લો પ્લોટ ખરીદી કબજો સંભાળ્યો હતો. ફરિયાદ મુજબ, ખરીદી બાદ થોડા જ દિવસોમાં પ્લોટ પર આવેલી જૂની ઓરડીને પાકી બનાવવા કામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થળ પર હાજર ભૂપતભાઈ અનકભાઈ ખાચર અને તેમના પુત્ર રવિભાઈ ભૂપતભાઈ ખાચરે પ્લોટ પોતાનો હોવાનું કહી ફરિયાદી અને તેમના 59 વર્ષીય પિતા, નિવૃત્ત વૃદ્ધ સામે ધમકીઓ આપી હતી. “આ વિસ્તારમાં રહેવું હોય તો પ્લોટ પાસે દેખાતા નહીં, નહીં તો ટાંટિયા ભાંગી નાખીશું” એવી ધમકી અપાઈ હોવાનું જણાવાયું છે. વધુમાં ફરિયાદમાં ઉલ્લેખ છે કે, રાત્રે ઘરે આવી રવિભાઈએ રૂ.22 લાખની માગણી કરી હતી અને “પ્લોટ જોઈએ તો પૈસા આપ, નહીં તો જાનથી મારી નાખીશ” કહી ધમકાવી ગયો હતો. ફરિયાદીએ કલેક્ટર કચેરી, પીજીવીસીએલ તેમજ સિવિલ કોર્ટમાં રજૂઆતો કર્યા બાદ અંતે સેશન્સ કોર્ટે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધવા આદેશ આપ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે અગાઉ ઢીલી નીતિ અપનાવી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કારણ કે, સેશન્સ કોર્ટના હુકમના આધારે આ ગુનો પોલીસે નોંધવો પડ્યો છે.
ગાંજો ઝડપાયો:રાજકોટમાં હવે પાનના ગલ્લે પણ ગાંજો વેચાય છે, ધંધાર્થી પકડાયો: સપ્લાયર ફરાર
શહેરમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ પેડલરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાન-બીડીના ધંધાની આડમાં નશાનો સામાન વેચાતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગાંધીગ્રામ પોલીસે પાનની કેબિન ચલાવતા એક શખ્સને છૂટકમાં ગાંજાની પડીકીઓ વેચતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ શખ્સને ગાંજો પૂરો પાડનાર કોઈ મોટો માફિયા નહીં, પણ રાજકોટનો જ એક સફાઈ કામદાર હોવાનું ખૂલતા પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ હર્ષાબેન ગઢવીની સૂચનાથી પીએસઆઈ વી.ડી. રાવલિયા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રોહિતદાન ગઢવીને સચોટ બાતમી મળી હતી કે, એસ.કે. ચોક પાસે આવેલી ગંગેશ્વર મહાદેવ મંદિરવાળી શેરી નં.2/બ માં નરસી નાગર નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈને આવવાનો છે. બાતમીના આધારે પોલીસે તુરંત વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા નરસિંહ મુળજી નાગર (ઉ.વ.45, રહે. ગાંધીગ્રામ) ને આંતરી લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 16 હજારની કિંમતનો 320 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, એક સફાઈ કામદાર તેને આ જથ્થો આપી ગયો હતો અને તે પોતાની પાનની કેબિનેથી બંધાણીઓને છૂટકમાં પડીકીઓ વેચતો હતો. પોલીસે સફાઈ કર્મચારીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. બીજી તરફ આ સફાઈ કામદાર ગાંજાનો વેપલો કઈ-કઈ જગ્યાએ કરતો અને જથ્થો ક્યાંથી મગાવતો તે સહિતની બાબતો તેની ધરપકડ બાદ જ બહાર આવશે. હાલ પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી ફરાર સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલો નરસિંહ નાગર પોલીસ માટે કોઈ નવો ચહેરો નથી. તે અગાઉ શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ નજીકથી પ્ર.નગર પોલીસના હાથે પણ ગાંજા સાથે પકડાઈ ચૂક્યો છે.
વર્તમાન વૈશ્વિક તણાવ અને બે દેશ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે રાજકોટના MSME નિકાસકારોને રાહત આપતો અને તેમના વેપારને જોખમમુક્ત બનાવતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ સેમિનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયો હતો. જેમાં નિકાસકારોને વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્ષિત વેપાર કઈ રીતે કરવો અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ કઈ રીતે લેવો તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વોર રિસ્ક સરચાર્જમાં 50 ટકા રિમ્બર્સમેન્ટ સહિતના સારા સમાચાર ઉદ્યોગકારોને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જોઈન્ટ ડીજીએફટી (રાજકોટ), એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના સંયુક્ત ઉપક્રમે 17 એપ્રિલે આ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જોઈન્ટ ડીજીએફટી રોહિત સોની, ECGC બ્રાન્ચ મેનેજર બિજેન્દ્રકુમાર ત્રિપાઠી, એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્મા અને મેનેજર પીયૂષ પલ્લવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સૌનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, આ સેમિનાર ખાસ કરીને નાના અને મધ્યમ કદના (MSME) નિકાસકારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. નિકાસકારોને ક્યા લાભ મળશે?નિકાસ દરમિયાન વસૂલવામાં આવતા ‘વોર રિસ્ક સરચાર્જ’ પર 50 ટકા રિમ્બર્સમેન્ટ કેવી રીતે મેળવવું તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ECGC અને DGFTના અધિકારીઓએ નિકાસકારોને સરકાર દ્વારા જાહેર કરાયેલી રિલીફ સ્કીમ અને ECGC દ્વારા મળતા વીમા કવચની વિગતવાર માહિતી આપી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, નિકાસકારોએ કોઈપણ કોમર્શિયલ અને પોલિટિકલ રિસ્ક (જેમ કે દેશો વચ્ચે તણાવ) સામે રક્ષણ મેળવવા ECGC ની સેવાઓનો અચૂક લાભ લેવો જોઈએ. આ પ્રસંગે ECGCના એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્માએ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા દ્વારા નિકાસકારોને વિકટ પરિસ્થિતિઓમાં થતી નુકસાની સામે સીધી વીમા સુરક્ષા આપવામાં આવે છે. ’ આ ઉપરાંત, સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘રિઝિલિયન્સ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન’ પેકેજના ત્રણ મુખ્ય ઘટકો અંગે પણ વ્યાપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે ‘ઇમ્પેક્ટ ફી’નો કાયદો અમલમાં મુક્યો હતો. આ કાયદા હેઠળ રાજકોટમાં હજારો આસામીઓએ વધારાના બાંધકામોને ફી ભરીને કાયદેસર કરાવી લીધા, પરંતુ હવે આ જ મિલકતદારો માટે ‘ફાયર સેફ્ટી’ ગળાફાંસો બની છે. મનપાના ફાયર વિભાગના સત્તાવાર આંકડા મુજબ, રાજકોટમાં 1304 એવા એકમ છે જેમના ઇમ્પેક્ટ પ્લાન તો મંજૂર થઈ ગયા છે, પરંતુ તેઓ ફાયર NOC મેળવવા માટે લાયક ઠર્યા નથી. તંત્રએ આવા તમામ એકમોની અરજીઓ નામંજૂર કરી વધારાનું બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી છે. જો આ બાંધકામો દૂર નહીં કરાય તો આગામી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. ફાયર એનઓસી માટે આવેલી વોર્ડ વાઈઝ અરજીઓ એક્ઝિટ ગેટ, ડબલ સીડીના નિયમો નડ્યારાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકાર અને વહીવટી તંત્ર ફાયર સેફ્ટીના મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂર થયેલા બાંધકામોમાં સૌથી મોટી સમસ્યા એક્ઝિટ ગેટ, ડબલ સીડી અને બિલ્ડિંગની ચારેતરફ રાખવાની થતી ફરજિયાત જગ્યાની છે. ઘણા કિસ્સાઓમાં આસામીઓએ માર્જિનની જગ્યામાં જ બાંધકામ કરી લીધું છે, જેના કારણે ઇમર્જન્સી સમયે ફાયર ફાઇટર કે એમ્બ્યુલન્સ અંદર જઈ શકે તેમ નથી. આવા જોખમી બાંધકામોને કારણે 1300થી વધુ એકમોને અત્યારે ફાયર વિભાગે લાલબત્તી ધરી દીધી છે. ઇમ્પેક્ટ બાંધકામો માટે હવે ઑફલાઇન અરજી કરવી ફરજિયાત, ઓનલાઈન પોર્ટલ બંધઇમ્પેક્ટ ફી હેઠળના કેસોમાં ઘણી ટેક્નિકલ વિસંગતતાઓ સામે આવી છે. વધારાના બાંધકામો બાદ બિલ્ટઅપ એરિયાની માપણી અને વાસ્તવિક બાંધકામમાં તફાવત આવતા ઓનલાઇન અરજીઓ ઇન્વર્ડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આથી, ફાયર વિભાગે નિર્ણય લીધો છે કે, ઇમ્પેક્ટના નિયમો હેઠળ થયેલા તમામ વધારાના બાંધકામો માટે હવે ઑફલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. રહેણાકમાંથી કોમર્શિયલનો ખેલ ઊંધો પડ્યોઅનેક મિલકતધારકોએ રહેણાકના એકમોમાં ફેરફાર કરી તેને કોમર્શિયલ બાંધકામો તરીકે દર્શાવ્યા હતા. વધારાનું બાંધકામ કર્યા બાદ જ્યારે ફાયર NOC માટે અરજી કરવામાં આવી, ત્યારે ફાયર અને ટીપી વિભાગની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના બાંધકામો ફાયર સેફ્ટીના પાયાના નિયમોનું પણ પાલન કરતા નથી. આવું પણ થયું : ગેરકાયદે બાંધકામ કર્યું, ઈમ્પેક્ટમાં મંજૂર થયું બાદમાં ફરી બાંધકામ કર્યું!ગેરકાયદે બાંધકામ કરવા માટે અમુક તત્ત્વો કેવા નિયમભંગ કરે છે તેના પણ દાખલા જોવા મળ્યા છે. સૌથી પહેલા તો ગેરકાયદે બાંધકામ કર્યું ત્યારબાદ તેને રેગ્યુલરાઈઝ કરવા માટે અરજી કરી દીધી. ટી.પી. શાખાએ આવા બાંધકામની વિઝિટ કરીને રેગ્યુલરાઈઝ કરવાની પ્રક્રિયા કરી ત્યાં તો તે સ્થળે ફરીથી બાંધકામ કરી દેવાયું એટલે કે બે વખત ગેરકાયદે બાંધકામ કર્યું. અમુક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે જેનો ફરીથી સરવે કરાશે.He/
એમ્બરગ્રીસ ઝડપાયું:ભરૂચથી ડિંડોલી આવેલું એક કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું
SOGએ ડિંડોલીમાંથી 1 કરોડ રૂપિયાનું અંદાજે 1.071 કિલો એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) ઝડપી પાડી 3 આરોપીની ધરપકડ કરી હતી. SOGને બાતમી મળી હતી કે ડિંડોલીમાં RJD બિઝનેસ પ્લાઝા પાસે કેટલાક લોકો પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ લઈને ગ્રાહક શોધી રહ્યા છે. ટીમે વોચ રાખી 3 શંકાસ્પદ યુવકોની તપાસ કરતાં બેગમાંથી 1.071 કિલો પદાર્થ મળી આવ્યો હતો, જેને FSL અને નિષ્ણાતોએ એમ્બરગ્રીસ જણાવ્યું હતું. પોલીસે અમરીશ જયપ્રકાશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી. ત્રણેય યૂપી- જૌનપુરના રહેવાસી છે. આ એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય કિંમત 1.07 કરોડ થાય છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે એમ્બરગ્રીસ ભરૂચના કાવી કંબોઈના માછીમારો પાસેથી મળ્યું હતું. વોન્ટેડ આરોપી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાને આ પદાર્થ દરિયામાંથી મળ્યો હતો. અમરીશ, ધીરુનો સંબંધી છે. 3 મહિનાથી તે ગ્રાહક શોધી રહ્યો હતો.
ઉધના સ્ટેશન પર રવિવારે મુસાફરોની ભીડ અનિયંત્રિત થઈ સ્થિતિ બગડ્યા બાદ તંત્ર સતર્ક થઈ ગયું હતું. ઘટનાના બીજા જ દિવસે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે ટીમ સાથે ઉધના સ્ટેશને પહોંચી નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન DRM પંકજ સિંહ સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન તેમણે પેસેન્જર મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાઓનું બારીકાઈથી આકલન કર્યું. તેમણે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે વીકેન્ડ અને પીક સીઝન દરમિયાન મુસાફરોની સંખ્યાનું અગાઉથી આકલન કરી નક્કર રણનીતિ બનાવવામાં આવે, જેથી કોઈ પણ સ્થિતિમાં ગેરવ્યવસ્થા ન ફેલાય. તેમણે કહ્યું કે, મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. ઘટના બાબતે ચેમ્બરની રેલવે કમિટીના ચેરમેન રાકેશ શાહે જીએમને વિવિધ રજૂઆતો કરી હતી. સીધીવાત - રામાશ્રય પાંડે, જનરલ મેનેજરસવાલ: રવિવારે સ્થિતિ અનિયંત્રિત કેવી રીતે થઈ?જવાબ: 28 હજાર લોકો સ્ટેશન પર આવી ગયા હતા. તેમની વચ્ચે એક ભ્રમ ફેલાઈ ગયો કે સવારે 11.30 વાગ્યા વાળી સ્પેશિયલ ટ્રેન પછી કોઈ સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે, જેથી એક જ ટ્રેનમાં ચઢવા માટે લાઇન તોડીને ભાગવા લાગ્યા હતા. સવાલ: પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો?જવાબ: સુરક્ષા કર્મીઓએ ફેન્સિંગ પર ડંડા માર્યા હતા, જેથી લોકો પાછળ હટે, અનિયંત્રિત હાલત ન થાય, કોઈ પણ પેસેન્જરને ક્યાંય પણ ઈજા થઈ નથી. સવાલ: આવી ભીડ ન ઉમટે તે માટે શું કરાશે? જવાબ: રોજ વધારાની ટ્રેનો દોડે છે, પરંતુ હવે એક-બે દિવસ પહેલાં જ ટ્રેનોની જાહેરાત કરીશું જેથી એડવાન્સમાં જાણકારી મળે. જેને કારણે મુસાફરો પોતાની યાત્રા અગાઉથી સુનિશ્ચિત કરી શકશે. સવાલ: કાળઝાળ તડકામાં પણ ઊભા હતા જેનાથી આવી સ્થિતિ થઈ તેના માટે શું યોજના છે? જવાબ: અમે એવી તૈયારી કરી રહ્યા છીએ કે હવે મોટાભાગની સ્પેશિયલ ટ્રેનોને વહેલી સવારે અથવા આકરો તડકો થાય તે પહેલા જ ચલાવવામાં આવે. જેનાથી લોકો વધુમાં વધુ નીકળી જશે. આ સિવાય હોલ્ડિંગ એરિયા હવે આવનારા 3 મહિનામાં પૂરી રીતે અપગ્રેડ થઈ જશે. સવાલ: ઘણા મુસાફરો ટિકિટ હોવા છતાં ન જઈ શક્યા, તેમને રિફંડ પણ ન મળ્યું? શું કહેશો? જવાબ: અત્યાર સુધીમાં અમને આવી કોઈ જાણકારી મળી નથી કે ન તો આવી કોઈ ફરિયાદ મળી છે. 11.30 પછી સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે તેવી અફવા ફેલાતાં સ્થિતિ કથળી‘વોટર્સ સ્પેશિયલ ટ્રેન’માં 1300 લોકો બંગાળ ગયાઉધના સ્ટેશન પર રાત્રે અલગ જ નજારો જોવા મળ્યો હતો. અંદાજે 1300થી વધુ બંગાળી શ્રમિક મતદારો ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેન દ્વારા વતન રવાના થયા હતા. પ્લેટફોર્મ 5 પર મુસાફરોના હાથમાં તિરંગો અને આખું સ્ટેશન ‘વંદે માતરમ્’ તેમજ ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ વ્યવસ્થા સુરત ભાજપ અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા કરવામાં આવી હતી. કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 મતદારોને ફ્રીમાં કોલકાતા પહોંચાડાશે. પ્રથમ ટ્રેન રવાના થઈ ચૂકી છે. હવે બીજી ટ્રેન 24 એપ્રિલે રવાના કરવામાં આવશે.

30 C