ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. બુધવારે રાજકોટ, વડોદરા અને સુરતમાં ભાજપની હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા વચ્ચે ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને ચૂંટણી લડવાની તક મળશે. ઉમેદવારીના માપદંડોને લઈ ભાજપ CECની બેઠકમાં ચર્ચાબુધવારે ભાજપ સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. 26 એપ્રિલે યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના માપદંડોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે. વોર્ડ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંપૂર્ણ રીતે સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સાથે જ, ભાજપે વયમર્યાદા નક્કી કરતા 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનું મન બનાવી લીધું છે. સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને પણ આ વખતે આરામ આપવામાં આવશે. પાયાના કાર્યકર્તાઓને તક મળશેભાજપના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે ટિકિટ વિતરણમાં વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાયાના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપવાનો પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં લોકસંપર્ક અભિયાનને તેજ બનાવવા અને પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ભાજપના આ ‘શુદ્ધિકરણ’ અભિગમથી પક્ષના અનેક દિગ્ગજ નેતાઓમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે, જેના કારણે ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. 26 એપ્રિલે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાનગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા બુધવારથી આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. આ સમાચાર પણ વાંચોઃ રાજકોટ મનપાની ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે? આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે? આ સમાચાર પણ વાંચોઃ વડોદરા મનપાની ચૂંટણીમાં કોના પત્તા કપાશે-કોણ ફાવશે?
વડોદરા શહેરમાં મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ ચાર ઝોનમાં તબક્કાવાર વોર્ડવાર દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જોકે, આ સેન્સ પ્રક્રિયા સવારે 9 કલાકથી શરુ થવાની હતી પરંતુ, તમામ ઝોનમાં નિરીક્ષકો અંદાજે બે કલાક મોડા આવ્યા હતા. જેથી, 11 વાગ્યે સેન્સ પ્રક્રિયા શરુ થઇ હતી. પ્રથમ દિવસે વિવિધ ચાર ઝોનમાં 10 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનું લાંબુ લિસ્ટ સામે આવ્યું મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપના કાર્યકરોની હોડ લાગી હતી. ભાજપ એ સૌથી મોટી રાજકીય પાર્ટી છે, જેથી સ્વાભાવિક છે તમામ કાર્યકર્તાઓને હોદ્દાની આશા હોય. પાયાના કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે તન, મન, ધનથી કામ કરતા હોય તો ચૂંટણી લડવાની ઈચ્છા સ્વાભાવિક બને છે ત્યારે સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનું લાંબુ લિસ્ટ સામે આવ્યું છે. 10 વોર્ડ માટે 776 જેટલા દાવેદારો નોંધાયા છે. જેમાં બુથ ઇન્ચાર્જથી માંડી વર્તમાન કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. બાકીના વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે યોજાશેવડોદરા શહેરમાં આજે સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ ઝોનમાં વોર્ડવાર દાવેદારોએ કતાર લગાવી હતી. સવારે 11 કલાકે શરુ થયેલી પ્રક્રિયા સાંજે 8 કલાક સુધી ચાલી હતી. કેટલાક ઝોનમાં તો તેના કરતા પણ મોડું થયું હોવાનું જાણવા મળ્યું છે. બાકી રહેલા વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે યોજવામાં આવશે ત્યારે વડોદરા શહેરમાં 76 બેઠકો માટે ભાજપના જ 2000થી વધુ દાવેદારો નોંધાય તો નવાઈ નહીં મોટાભાગના વર્તમાન કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવીસેન્સ પ્રક્રિયા દરમિયાન મોટા ભાગના વર્તમાન કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી છે. જો કે જે અગ્રીમ હરોળના પદાધિકારીઓ હતા તેઓ પણ સેન્સ પ્રક્રિયા માટે અન્ય જિલ્લાઓમાં ગયા હોવાથી તેઓએ આગલા દિવસે જ કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભરી દીધું હતું. ત્યારે પ્રથમ દિવસે ચાર ઝોનમાં મોટા ભાગના નવા ચહેરા જોવા મળ્યા હતા. ત્યારે હવે ભાજપ દ્વારા નવા ચહેરાઓને સમાવવામાં આવે કે પછી જુના જોગીઓ ઉપર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તે જોવું રહ્યું. પ્રથમ દિવસે થયેલ સેન્સ પ્રક્રિયામાં વોર્ડવાર ઉમેદવારોની સંખ્યા
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-'જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ'
West Asia Conflict: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે PM આવાસ પર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ(CCS)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. યુદ્ધ વચ્ચે CCSની આ બીજી વિશેષ બેઠક હતી. બેઠકમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આગળની રણનીતિ પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે 'સુનિશ્ચિત કરવામાં આવે કે યુદ્ધની અસર જનતા પર ન પડે.' દરેક શક્ય પગલાં લેવામાં આવે: PM મોદી
ચૈત્રી નવરાત્રી નિમિત્તે બહુચરાજી મેળામાં પૂનમના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા મોઢેરા કેનાલ નજીક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પદયાત્રીઓને 800 કિલો કોથમીર વડી અને પીવાના પાણીનું વિતરણ કરીને સેવા પૂરી પાડવામાં આવી હતી. મોઢેરા કેનાલની બાજુમાં આવેલા પેટ્રોલ પમ્પ પાસે આ સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો હતો. અહીં ખાસ કરીને બહુચરાજી તરફ જતા શ્રદ્ધાળુઓ માટે કોથમીર વડીનો નાસ્તો અને પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન અંદાજે 800 કિલો કોથમીર વડીનું પદયાત્રીઓ અને વાહન ચાલકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. માર્ગ પરથી પસાર થતા મોટી સંખ્યામાં ભક્તો અને ચાલકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. આ સેવા કાર્યમાં ઝીણીપોળ યુથ ક્લબના પ્રમુખ ગોવિંદ પટેલ, ઉપ પ્રમુખ હિતેશ પટેલ, મંત્રી નીતિન પટેલ, ખજાનચી હિતેશ પટેલ, સહમંત્રી રાકેશ પટેલ તેમજ સંગઠન મંત્રી રાહુલ પટેલ સહિત ક્લબના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા આપી હતી.
સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી:ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ મોદી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા છે. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાતી હોવાથી ભાજપમાં દાવેદારોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારી નોંધાવવા માટે કાર્યકરોની લાંબી કતારો લાગી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડ દીઠ ચાર સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 સભ્યો ચૂંટણી લડી શકશે. આજે વોર્ડ નંબર 1 થી 7 માટે ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે વોર્ડ નંબર 8 થી 13 માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે, જેના કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેન સેવા આજથી શરૂ થઈ છે. પ્રથમ દિવસે આ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર નિર્ધારિત સમય કરતાં આશરે 20 મિનિટ મોડી રાત્રે 7:56 વાગ્યે પહોંચી હતી. ચાર મિનિટના વિરામ બાદ રાત્રે 8:00 વાગ્યે તે ખેડબ્રહ્મા તરફ રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષના લાંબા ગાળા બાદ આ રૂટ પર રેલવે સેવા પુનઃ શરૂ થઈ છે. ગઈકાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડબ્રહ્માથી નવી મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સેવા શરૂ થતા આ રૂટના તમામ ગ્રામજનોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજથી અસારવાથી નિયમિત મેમુ સેવા શરૂ થતા હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની નોંધપાત્ર ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુસાફરો આ ટ્રેનમાંથી ઉતરતા અને ચડતા જોવા મળ્યા હતા, જે આ રૂટ પરની રેલવે સેવાની જરૂરિયાત દર્શાવે છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા પિંગળી રેલવે ફાટક નંબર 33 ને આગામી એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીના અંતિમ તબક્કાને કારણે આ ફાટક 1 એપ્રિલથી 1 મે સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ડેરોલ સ્ટેશન નજીક આવેલા આ રેલવે ક્રોસિંગ (એલ.સી. 33) પર રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. જાહેર જનતાની સલામતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટર જે.જે. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, 1 એપ્રિલથી 1 મે, 2024 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનવ્યવહાર માટે આ ફાટક સંપૂર્ણપણે બંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મુસાફરો અને વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકો ફાટક નંબર 33 નજીક આવેલા ડેરોલ રેલવે સ્ટેશન પાસેના આર.યુ.બી. નંબર 32 નો ઉપયોગ કરી શકશે. જ્યારે ભારે વાહનો માટે લાંબા અંતરના અન્ય ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવો પડશે. રેલવે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે હેતુથી લેવાયેલા આ નિર્ણયને સ્થાનિક ગ્રામ પંચાયતો અને પંથકના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે. બ્રિજ બની જવાથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થશે, જેથી જનતાને સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના રૈયા ગામ પાછળના ભાગે તળાવ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં દારૂનું મોટાપાયે કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપી નવીન લક્ષ્મીદાસ દામાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસની આ તપાસમાં અશોક લેલન મેક્ષીટ્રક અને ફોક્સવેગન વેન્ટો કાર જેવી લક્ઝરી ગાડીઓમાંથી વિદેશી દારૂની કુલ 1,644 બોટલો મળી આવી છે, જેની કિંમત અંદાજે 15,72,400 થાય છે. પોલીસે દારૂ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.21,47,400 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે દારૂનો જથ્થો રવિ મનસુખભાઈ નાખવા અને નવાબ નામના શખ્સોનો છે. દરોડા વખતે રવિ નાખવા, નવાબ અને તેનો ભાઈ અંધારાનો અને ઝાડીઓનો લાભ લઈને ભાગી ગયા હતા જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ટ્રેનમાં બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપમૂળ નોઇડાના કરુણાદેવી રાકેશસિંહ રાજપુત પોતાના પરિવાર સાથે દિલ્હી-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં રાજકોટ આવ્યા હતા. અહીંથી તેઓને સોમનાથ જવાનું હોવાથી તેઓ પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલી ટ્રેન નંબર 11466ના સ્લીપર કોચમાં બેઠા હતા. બપોરે અંદાજે 1.35 વાગ્યે ટ્રેન ઉપડી ત્યારે બારી પાસે બેઠેલા કરુણાદેવીના ગળામાં હાથ નાખી એક અજાણ્યો શખ્સ સોનાનો ચેઇન તોડીને ટ્રેનની બીજી તરફ ઉતરીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ વૃદ્ધાએ તાત્કાલિક રેલ્વે હેલ્પલાઇન 139 પર સંપર્ક કર્યો હતો. તેમની મુસાફરી ચાલુ હોવાથી પ્રાથમિક જાણ વેરાવળ રેલ્વે પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલો રાજકોટ રેલ્વે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ચોરાયેલા સોનાના ચેઇનની કિંમત આશરે 39,000 રૂપિયા દર્શાવવામાં આવી છે. હાલ રાજકોટ રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ 304(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 26 એપ્રિલે યોજાશે:મતગણતરી 28 એપ્રિલે, આચારસંહિતા અમલી બની
રાજ્ય ચૂંટણી પંચે સાબરકાંઠા સહિત ગુજરાતની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સંસ્થાઓ માટે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ, ઉમેદવારો 6 એપ્રિલથી ફોર્મ ભરી શકશે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે, જ્યારે 15 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. મતદાન 26 એપ્રિલે થશે અને પરિણામ 28 એપ્રિલે મતગણતરી બાદ જાહેર કરાશે. સાબરકાંઠામાં હિંમતનગર, વડાલી અને ઈડર સહિતની નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન અમલમાં છે. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતો માટે પણ ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી કમિશનરે બુધવારે આ તારીખોની જાહેરાત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત, તેમજ હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકા પંચાયતો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત, હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ નગરપાલિકાની બે પેટાચૂંટણી પણ 26 એપ્રિલે યોજાશે.
સુરતની નવી જિલ્લા અદાલત ક્યાં બનશે? વર્ષોથી વકીલ આલમ અને સુરતની જનતામાં ચાલી રહેલી અટકળો અને વિવાદોનો આજે અંત આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મગદલ્લા ખાતેની કિંમતી જમીનને નવી કોર્ટ બિલ્ડિંગ માટે હેતુફેર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ જીયાંવ ખાતે ફાળવાયેલી જમીનનો વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને વકીલ મંડળની રજૂઆતોને ધ્યાને રાખીને આખરે તાપી નદીના કિનારે મગદલ્લામાં નવું ન્યાયધામ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી વકીલોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. જીયાંવની જમીન કેમ રદ થઈ? વકીલોનો વિરોધ રંગ લાવ્યોઅગાઉ જૂન 2019માં કલેક્ટરના હુકમથી મોજે જીયાંવ ખાતે 50,000 ચો.મી. જમીન કોર્ટ બિલ્ડિંગ માટે ફાળવવામાં આવી હતી. જોકે, સુરત જિલ્લા વકીલ મંડળ અને સુરત સિટી એડવોકેટ એસોસિએશન દ્વારા આ સ્થળને લઈને નામદાર ચીફ જસ્ટિસ સુધી રજૂઆતો કરવામાં આવી હતી. વકીલોની દલીલ હતી કે જીયાંવ વિસ્તાર પ્રદૂષણ અને અંતરની દૃષ્ટિએ યોગ્ય નથી. આ મામલે જાન્યુઆરી 2026માં હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી, જેમાં મગદલ્લાની જમીનને વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવી હતી. આખરે વકીલોની લડત સફળ રહી છે અને શહેરની મધ્યમાં કહી શકાય તેવા મગદલ્લા વિસ્તાર પર મંજૂરીની મહોર વાગી છે. 181.11 કરોડના ખર્ચે બનશે સુરતનું નવું ન્યાયધામમાર્ગ અને મકાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, સુરતની આ નવી જિલ્લા કોર્ટના બાંધકામ માટે કુલ 181,11,00,000 (એકસો એક્યાસી કરોડ અગિયાર લાખ)ની માતબર રકમની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે 25 માર્ચ 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી, હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના મેમ્બર્સ અને કાયદા વિભાગના સેક્રેટરીઓની હાજરીમાં મળેલી હાઈલેવલ મીટિંગમાં આ બજેટ અને સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ સુરતની વધતી જતી વસ્તી અને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાને રાખીને અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. મગદલ્લા ટી.પી. સ્કીમ નંબર-4 (રુંઢ-મગદલ્લા) માં જમીન ફાળવણીકલેક્ટરના હુકમ મુજબ મગદલ્લા ગામની સર્વે/બ્લોક નંબર 2-1 વાળી જમીન જે અગાઉ ગૌચર તરીકે નોંધાયેલી હતી અને માર્ગ-મકાન વિભાગને પુલના સામાન તેમજ સરકારી આવાસો માટે ફાળવવામાં આવી હતી, તેનો હેતુફેર કરવામાં આવ્યો છે. આ જમીન ટી.પી. સ્કીમ નંબર-4 (રુંઢ-મગદલ્લા) હેઠળ આવે છે, જેમાં એફ.પી. નંબર 55 (ક્ષેત્રફળ 77,951 ચો.મી.)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પ્લોટ્સ પણ ફાળવણીમાં છે. આ વિશાળ જમીન હવે સત્તાવાર રીતે જિલ્લા ન્યાયાલયના ભવન માટે અનામત કરી દેવામાં આવી છે. તાપી નદીના બ્રિજ નજીક આવેલી આ જગ્યા પરિવહન અને વાતાવરણની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે. હાઈકોર્ટના 3 જજોએ રૂબરૂ નિરીક્ષણ કરી મંજૂરી આપી હતીનોંધનીય છે કે, 21 ફેબ્રુઆરી 2026ના રોજ નામદાર હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ત્રણ માનનીય ન્યાયમૂર્તિઓએ સુરતની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ કમિટીએ મગદલ્લા ખાતે આવેલી સરકારી જમીનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન આ સ્થળ વકીલો, અસીલો અને ન્યાયિક પ્રક્રિયા માટે અત્યંત અનુકૂળ હોવાનું જણાયું હતું. મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ દ્વારા પણ આ જમીન ફાળવવા માટે જરૂરી વહીવટી હુકમ કરવા રજૂઆત કરી હતી, જેના પગલે કલેક્ટરે આજે આખરી હુકમ જારી કર્યો છે. હવે અન્ય ઉપયોગ પર રહેશે પ્રતિબંધકલેક્ટરના હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે અગાઉ જે જમીન તાપી નદીના પુલની સાધન સામગ્રી રાખવા અને સરકારી કર્મચારીઓના આવાસો માટે ફાળવવામાં આવી હતી, તેનો ઉપયોગ હવે માત્ર જિલ્લા ન્યાયાલયના કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે જ કરી શકાશે. આ જમીનનો હેતુફેર (Land Use Change) કરવામાં આવ્યો છે. શરત મુજબ કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના આ જમીનનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિર્ણયથી સુરતના વકીલ આલમમાં ભારે રાહત અને હર્ષની લાગણી છે કારણ કે તેમને આખરે પોતાની મનગમતી અને અનુકૂળ જગ્યા મળી ગઈ છે.સુરત માટે આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે મગદલ્લાનું લોકેશન શહેરના તમામ વિસ્તારોથી સરળતાથી એક્સેસ કરી શકાય તેમ છે.
વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. કુલ 300થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા પક્ષ માટે ઉમેદવાર પસંદગી એક મોટી કસોટી બની ગઈ છે. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આજે સવારથી વેરાવળ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 50થી વધુ દાવેદારી નોંધાઈ હતી. બપોરે 2 વાગ્યાથી વેરાવળ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. નિર્ધારિત સમય મુજબ આ પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની હતી. જોકે, નગરસેવક બનવા ઈચ્છુક આગેવાનો અને કાર્યકરોની ભારે ભીડને કારણે સમય મર્યાદા લંબાવવાની ફરજ પડી હતી. પરિણામે, સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવી હતી. ભાજપમાં વધતી દાવેદારી દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે સ્પર્ધા વધુ કઠિન બનશે. ટિકિટ વિતરણ દરમિયાન પક્ષને આંતરિક સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે.
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે મિલ્કત વેરાના રૂ.455.80 કરોડના મુળ લક્ષ્યાંકની સામે રૂ.447.93 કરોડની વસુલાત થઈ છે. ગત નાણાકિય વર્ષ કરતા 8.44% ની વૃદ્ધિ સાથે ચાલુ નાણાકિય વર્ષમાં કુલ 34.44 કરોડ વધારાની આવક કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26 માં કુલ 6,10,931 મિલકત પૈકી 4,63,564 મિલકતોનો વેરો ભરાયેલ છે.આમ, ગત વર્ષ 2024-25 ની સાપેક્ષમાં 43,905 વધુ મિલકતોમાં વેરાની વસુલાત થવા પામી છે. આમ કુલ મિલકતધારકોમાંથી 75.75% મિલકતધારકોએ ચાલુ વર્ષે વેરાની ભરપાઈ કરેલ છે. કુલ આવક અને કુલ કરદાતાઓને ધ્યાને લેતા, રેસીડન્સ કેટેગરીમાં કુલ 3,47,274 કરદાતાઓએ રૂ.204.90 કરોડનો વેરો ભરપાઇ કરેલો છે. જયારે નોન રેસીડન્સ કેટેગરીમાં કેટેગરીમાં કુલ 1,15,534 કરદાતાઓએ રૂ. 242.34 કરોડનો વેરો ભરપાઇ કરેલો છે. ચાલુ વર્ષે બજેટ સમયે ફેબ્રુઆરી 2026 માં જાહેર કરાયેલ વ્યાજ માફી યોજનાને પણ ખુબજ પ્રચંડ પ્રતિસાદ મળેલો છે. કુલ 45,967 મિલકતધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. જે પૈકી 33,471 રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકો અને 12,496 નોન રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. આ મિલકત ધારકોએ કુલ મળીને રૂ. 78.66 કરોડની રકમ ભરપાઇ કરેલી છે. રાજકોટમાં રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો, 16 દિવસમાં 9200 યુવાનો ઉમટવાનો અંદાજ રાજકોટના રેસકોર્સ સ્ટેડિયમ ખાતે રાજ્યભરના યુવાનો માટે ભારતીય સેના દ્વારા અગ્નિવીર ભરતી રેલીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. 24 માર્ચથી શરૂ થયેલી આ ભરતી પ્રક્રિયા 8 એપ્રિલ સુધી ચાલશે. આ ભરતી મેળામાં રાજ્યના તમામ 34 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 9200 જેટલા ઉમેદવારો ભાગ લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આખી પ્રક્રિયાને સફળ બનાવવા માટે ભારતીય સેના અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી છે.રાજકોટ ખાતેની ઇન્ફન્ટ્રી બ્રિગેડના સહયોગથી ભરતી સ્થળે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજનમાં રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, રોજગાર નિયામકની કચેરી તેમજ આરોગ્ય અને શિક્ષણ વિભાગનો મહત્વનો સહયોગ મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા માટે ડિજિટલાઈઝેશન ડ્રાઈવ હેઠળ તમામ પ્રક્રિયાઓ ઈલેક્ટ્રોનિક અને મેરિટ આધારિત રાખવામાં આવી છે. ભારતીય સેનામાં પસંદગી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવે છે. ઉમેદવારો કોઈપણ ભરતી એજન્ટ કે અસામાજિક તત્વોની લાલચમાં ન આવીને કોઈપણ તબક્કે લાંચ કે નાણાંની લેતી-દેતીમાં ન પડે અને આવી બાબતોથી દૂર રહે તે માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે. તમામ પસંદગી માત્ર યોગ્યતાના ધોરણે જ કરવામાં આવશે તેમ જામનગરની આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યુ છે. રાજકોટમાં 942 ઉમેદવારો 12 મીએ UPSC ની NDA - CDA ની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે યુનિયન પબ્લીક કમિશન (યુપીએસસી) દ્વારા આગામી તા.12ને રવિવારે એનડીએ-સીડીએ (નેવલ ડીફેન્સ એકેડમી-કમ્બાઈન્ડ ડીફેન્સ એકેડમી)ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે.જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ લેવાનાર આ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કલેકટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત દેશભરના ચુનંદા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં રાજકોટ શહેરમાં પાંધી કોલેજ, સદગુરૂ કોલેજ, એવીપીટી કોલેજ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ એમ 4 સેન્ટર પરથી આ પરીક્ષા લેવાશે.જેમાં એનડીએની સ્પર્ધાત્મક પરીક્ષામાં બે પેપર અને સીડીએની પરીક્ષામાં ત્રણ પેપર ઉમેદવારોએ આપવાના રહેશે. પરીક્ષાનો સમય 9થી 5-30 કલાક સુધીનો નિયત કરવામાં આવેલ છે. રાજકોટમાં 942 ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયા છે. મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં અરજદારોની લાંબી કતાર લાગી મનપા સિવિક સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે આજે પણ સિવિક સેન્ટર ખુલે તે પહેલા જ વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો લાગી હતી. જન્મ-મરણના દાખલા, વેરા બીલ સહિતના અનેકવિધ દાખલા મેળવવા અરજદારોની લાંબી કતાર જોવા મળી હતી. કામ ધંધા છોડી અનેક મહિલા પુરૂષો યુવાનો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. વહેલી સવારથી ઉભેલા અરજદારોનો છેક બપોર સુધીમાં છુટકારો થયો હતો. કતારોમાં ઉભેલા અરજદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લક્ષ્મણરાવ ઈનામદાર શોપીંગ સેન્ટરની 9 દુકાનોની તા.8 એપ્રિલે હરરાજી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.51/બી હેઠળ તૈયાર થયેલ લક્ષ્મણરાવ ઇનામદાર(વકીલ સાહેબ) ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે. આ જાહેર હરરાજી તા.8/4ના રોજ સવારે 9 કલાકેથી કરાશે. જાહેર હરરાજીમાં ભાગ લેનારે હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂ.2,00,000 રાજકોટ મહાનગરપાલિકાના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાનાં રહેશે. ડીપોઝીટ ભરનાર વ્યક્તિ જ હરરાજીમાં ભાગ લઇ શકશે.
સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. મંગળવારે શહેરના આશરે 60 જેટલા કોન્ટ્રાક્ટરોનાં બેંક ખાતામાં કુલ 24 કરોડ રૂપિયા ભૂલથી જમા થઈ ગયા હતા. એક તરફ પાલિકા પાસે ગ્રાન્ટનો અભાવ છે અને અનેક બિલો પેન્ડિંગ છે, ત્યારે અચાનક આટલી મોટી રકમ ખાતામાં આવતા કોન્ટ્રાક્ટરોમાં અચરજ ફેલાયું હતું. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહોતી કારણ કે પાલિકાએ તાત્કાલિક એક્શન મોડમાં આવી મોડી રાત સુધીમાં તમામ વ્યવહારો રિવર્સ કરાવી દીધા હતા. બેંક ઓપરેટરની 'કોપી-પેસ્ટ' ભૂલથી ડબલ એન્ટ્રી થઈઆ સમગ્ર ગોટાળા પાછળ ખાનગી બેંકના ઓપરેટરની એક સામાન્ય ગણાતી પણ ગંભીર ભૂલ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જૂની પેજ શીટ મુજબ ક્લિયરિંગ માટે મુકાયેલા ચેકની યાદીને કોપી-પેસ્ટ કરવામાં આવતા ડબલ એન્ટ્રી થઈ ગઈ હતી. જેના કારણે અલગ-અલગ કોન્ટ્રાક્ટરોનાં ખાતામાં 20 લાખથી લઈને સવા કરોડ રૂપિયા સુધીની રકમ વધારાની જમા થઈ ગઈ હતી. વગર કામ કર્યે એકાઉન્ટમાં પૈસા જોઈ કોન્ટ્રાક્ટરો પણ ક્ષણિક માટે મૂંઝવણમાં મુકાયા હતા. 350 કરોડનું દેવું અને 24 કરોડનો લ્હાણીઆ ઘટના ત્યારે બની છે જ્યારે પાલિકાની આર્થિક સ્થિતિ કફોડી છે. 15મા નાણા પંચ સિવાયની મોટાભાગની ગ્રાન્ટ ખૂટી પડતા વિકાસકામોના અંદાજે 350 કરોડ રૂપિયાના બિલો અટવાયેલા છે. મેગા પ્રોજેક્ટ પર કામ કરતી એજન્સીઓ પેમેન્ટની રાહ જોઈ રહી છે ત્યારે બીજી તરફ વગર માગ્યે 24 કરોડ રૂપિયા વહેંચાઈ જતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ છબરડાને કારણે એકાઉન્ટ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાત્રે 11 વાગ્યા સુધી બેંકમાં દોડધામ, તમામ પૈસા પરત ખેંચાયાજેવી ભૂલની જાણ થઈ કે તરત જ પાલિકાના એકાઉન્ટ વિભાગે બેંક મેનેજરનો સંપર્ક સાધ્યો હતો. ભૂલ સુધારવા માટે પાલિકાની ટીમ રાત્રે 11 વાગ્યા સુધી બેંકમાં અડિંગો જમાવીને બેસી રહી હતી. સદનસીબે, તમામ ટ્રાન્ઝેક્શન સમયસર રિવર્સ કરી દેવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીને નુકસાન થતું બચાવી લેવાયું હતું. કોન્ટ્રાક્ટરો જે રકમ જોઈને ખુશ થયા હતા, તે રકમ રાતોરાત ખાતામાંથી ગાયબ થઈ જતાં આ કિસ્સો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાત રાજ્યના શ્રમ આયુક્ત કચેરી દ્વારા કોન્ટ્રાક્ટ મજૂરો (નિયમન અને નાબૂદી) અધિનિયમ હેઠળ કામ કરતા કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી બહાર પડેલા સત્તાવાર પરિપત્ર મુજબ અલગ-અલગ કેટેગરીના મજૂરો માટે દૈનિક વેતનના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. નવી જાહેરાત અનુસાર અશિક્ષિત (Unskilled), અર્ધશિક્ષિત (Semi-skilled) અને કુશળ (Skilled) કામદારો માટે જુદા-જુદા દર લાગૂ કરવામાં આવ્યા છે. જેમાં મજૂરો માટે ઝોનવાઇઝ વેતન નક્કી કરવામાં આવ્યું છે. કુશળ કારીગરો માટે ઝોન-1માં 474.00 અને ઝોન-2માં 462.00 રૂપિયા, અર્ધ કુશળ કારીગરો માટે ઝોન-1માં 462.00 અને ઝોન-2માં 452.00 તેમજ બિન કુશળ માટે ઝોન-1માં 452.00 અને ઝોન-2માં 441.00 વેતન નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરિપત્રમાં પાસ ભથ્થા (VDA) અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય માટે પ્રતિદિન ભથ્થાના દરો અલગથી નક્કી કરવામાં આવ્યા છે, જે જીવન નિર્વાહ સૂચકાંક (CPI) આધારે ગણવામાં આવ્યા છે. શ્રમ વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આ નવા દરો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી માન્ય રહેશે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ મજૂરોને મળશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે મજૂરોના હિતમાં આવા નિર્ણયો લેવામાં આવે છે, જેથી મોંઘવારી વચ્ચે જીવનનિર્વાહ સરળ બને અને કામદારોને યોગ્ય વેતન મળી રહે.
વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. આરોપીને મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાંથી ગણતરીના સમયમાં દબોચી લીધો છે. આરોપી દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતોવડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાળકી પર દુષ્કર્મના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. વોશરુમના બહાને કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયોઆરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આરોપી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છેપોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. આ દરમિયાન PSI એ એન પાટીલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજિતનગર, પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ) વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વહેલી સવારે આરોપી સગાના ઘરે દરોડો પાડીને ઊંઘતા ઝડપી પાડ્યો વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. PSI બી.વી. ગોહિલ અને એ.એસ.આઈ. દીપકભાઈને સચોટ બાતમી મળી હતી કે, આરોપી મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના દોંડાઈચા ગામે તેના સગાના ઘરે છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી હતી. વહેલી સવારે સાડા ચાર વાગ્યે આરોપીના સગાના ઘરે દરોડો પાડીને ઊંઘતા ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડી પાડી વડોદરા લાવવામાં આવ્યો છે અને વધુ તપાસ અર્થે અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં 1 એપ્રિલ, 2026થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતાના અમલ દરમિયાન ચૂંટણી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમજ તાકીદના તબીબી કારણો સિવાયની રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, 6 એપ્રિલ, 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ, 2026 છે. 13 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. મતદાન 26 એપ્રિલ, 2026, રવિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જરૂર પડ્યે, 27 એપ્રિલે પુનઃ મતદાન થશે અને 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ, 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત, રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2ની ખાલી બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાશે. પંચાયતોની વાત કરીએ તો, પાટણ જિલ્લા પંચાયત અને તેની હેઠળની પાટણ, સમી, સાંતલપુર, રાધનપુર, સરસ્વતી, ચાણસ્મા, સિદ્ધપુર, હારીજ અને શંખેશ્વર સહિતની નવ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાશે. આચારસંહિતાના અમલ દરમિયાન, મતદારોને પ્રભાવિત કરી શકે તેવી કોઈપણ જાહેરાતો, વચનો, નાણાકીય ગ્રાન્ટની ફાળવણી કે નવી નિમણૂકો પર ચૂંટણી આયોગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ જાહેરાત સાથે જ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ કાર્યક્રમ મુજબ, 6 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જેની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં 10,000થી વધુ બેઠકો માટે હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. લોકસભાના દંડક ધવલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ભાજપમાં જોવા મળી રહેલી આ સ્વસ્થ સ્પર્ધા દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર અતૂટ વિશ્વાસ છે. આગામી 28 એપ્રિલે ભાજપનો ભવ્ય વિજય થશે અને વિરોધ પક્ષોનો સફાયો થશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ખાસ કરીને યુવા ચહેરાઓ અને મહિલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ કાર્યાલયો પર ટિકિટ વાંચ્છુઓની લાંબી કતારો આગામી દિવસોમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના સંકેત આપી રહી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમાં સાયબર ફ્રોડને લગતા ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં 3 લાખથી ઓછા ફ્રોડની એક જ દિવસમાં 12 ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ દ્વારા અરજી લેવામાં આવી હતી જેની તપાસ કરવામાં આવી અને અંતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ ફરિયાદમાં ભોગ બનનાર અલગ અલગ રીતે સાયબર ફ્રોડના શિકાર બન્યા છે. કિસ્સો 1: ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના નામે 1.64 લાખની છેતરપિંડીસારંગપુરમાં રહેતા 55 વર્ષીય આધેડને એક યુવતીએ ફેસબુક પર રિકવેસ્ટ મોકલીને પરિચય કેળવ્યો હતો. બાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી બમણો નફો મળશે તેવી લાલાચ આપીને આધેડને લિંક મોકલી હતી. આધેડે રોકાણ શરૂ કરતા ભાવેશ ચૌહાણ સાથે સંપર્ક કરાવ્યો હતો. ભાવેશે આધેડને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને કોન્ટ્રાક્ટ સાઈન કરાવીને 30 ટકા કમિશન આપવાનું કહીને રૂપિયા 1.64 લાખ મેળવી લીધા હતા. આ સાથે રકમ વિડ્રો ન કરવા દઈને બે લાખની માંગણી કરી હતી. આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કિસ્સો 2: લોનના નામે 56 હજારની છેતરપિંડીમૂળ રાજસ્થાનનો 34 વર્ષીય યુવક શહેરમાં રહે છે અને પિત્ઝા રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. તેને ગઠિયાઓએ લોનના નામે ફોન કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો. જે બાદ અલગ અલગ નંબર પરથી ફોન આવતા તેણે ફોન ઉપાડ્યા નહોતા અને બાદમાં એક બાદ એક ઓટીપી આવતા ફોન બંધ કરી દીધો હતો. 20 મિનિટ બાદ ફોન ચાલુ કરતા 56 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતાં સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 3: ફોન-પે કંપનીના નામે બે શખસો 45 હજાર પડાવ્યાફતેવાડીમાં રહેતો યુવક બાકરોલ સર્કલ પાસે પકોડીની લારી ચલાવે છે. થોડા સમય પહેલાં ફોન-પે કંપનીના નામે બે શખસો આવ્યા હતા. આ શખસોએ ક્યુઆર કોડ અને સાઉન્ડ સ્પીકર આપવાનું કહીને યુવક સાથે વાત કરી હતી. બાદમાં આ વસ્તુઓ આપીને ફોનમાંથી નવા ક્યુઆર કોડમાં 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ કરાવ્યું હતું. ગઠિયાઓએ સ્પીકર લઇને આવીએ તેમ કહીને રફુચ્ચકર થઈ ગયા હતા. થોડી વા બાદ પરત આવીને યુવકનો ફોન લઇને 45 હજારનું ટ્રાન્ઝેક્શન કરીને એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 4: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 50 હજાર પડાવ્યાગાંધીનગર માણસાના 61 વર્ષીય વૃદ્ધ મોટેરામાં રહે છે અને કપ-રકાબી બનાવવાનો વેપાર કરે છે. તેમને અજાણ્યા શખસોએ ફોન કરીને તમે મુંબઇમાં લોકોને હેરાનગતિ કરી હોવાની અને મની લોન્ડરિંગની ફરિયાદ નોધાઈ છે. તમારા વિરૂદ્ધ એરેસ્ટ વોરન્ટ હોવાનું કહીને ડરાવ્યા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીને મળવાનું કહીને અધિકારી હાજર ન હોવાથી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ત્રણ કલાકે સેફ રિપોર્ટ મંગાવીને ડિપોઝિટ પેટે પાંચ લાખ માગ્યા હતા. વૃદ્ધે 50 હજાર ટ્રાન્સફર કરતા તેમની સાથે સાયબર ફ્રોડની શંકા જતાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 5: પેટીએમ બંધ કરવાના નામે 50 હજાર પડાવ્યાગોતામાં રહેતો યુવક ડ્રાય ક્લિનિંગની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલાં તેની દુકાને એક શખસ પેટીએમ કંપનીના નામે આવ્યો હતો. યુવકે પેટીએમ સાઉન્ડ બોક્સ બંધ કરાવવાનું કહેતા તેણે યુવકને પોતાના જ ખાતામાં 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. બાદમાં તમારા ફોનથી રિકવેસ્ટ નાખવી પડશે તેમ કહીને ફોન મેળવીને 10 જ મિનિટમાં 50 હજાર મેળવી લીધા હતા. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 6: આઇફોન ખરીદવાના નામે 68 હજાર રૂપિયાની ઠગાઈસુરતના માંડવીના 20 વર્ષીય યુવકે ઇન્સ્ટાગ્રામમાં આઇફોન 13 પ્રો મેક્સ વેચાણની જાહેરાત જોઈ હતી. બાદમાં તે ખરીદવા ઇન્સ્ટાગ્રામ આઇડી પર મેસેજ કર્યો હતો. ગઠિયાએ 5,545 ભાવ કહીને યુવક પાસે બુકિંગ માટે ઓનલાઈન 100 રૂપિયા પડાવ્યા હતા. બાદમાં યુવકે ટુકડે ટુકડે રૂપિયા 5,545 ચૂકવ્યા હતા. ગઠિયાએ એક સાથે જ પેમેન્ટ કરવું પડશે તેમ કહીને 68 હજાર રૂપિયા પડાવી લેતા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 7: રોકાણના નામે 2.65 લાખની છેતરપિંડીનવરંગપુરામાં રહેતા આધેડ સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે. તેમણે રોકાણ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ગઠિયાઓએ રોકાણની રકમ સામે માત્ર 10 હજાર રૂપિયા આપીને 2.65 લાખનું ફ્રોડ આચરતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 8: લોનના નામે 2 લાખની છેતરપિંડીન્યુ રાણીપમાં રહેતો યુવક નોકરી કરે છે. એક શખસે તેને ઓછા વ્યાજની લોનના નામે ફોન કર્યો હતો. બાદમાં યુવકના ડોક્યુમેન્ટ મેળવીને 6 લાખની લોન મંજુર થઇ હોવાનું કહીને વિવિધ ચાર્જના નામે રૂ. 2.06 લાખ પડાવીને છેતરપિંડી આચરી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધ્યો છે. કિસ્સો 9: ફોન-પે મારફતે 99 હજારનું સાયબર ફ્રોડશાહપુરમાં રહેતો યુવક ડેટા એન્ટ્રીનું કામ કરે છે. તેની માતાના ખાતામાંથી કોઇ ગઠિયાએ ફોન-પે મારફતે 99,900 નું સાયબર ફ્રોડ આચરતા શાહપુર પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 10: યુવકનો ફોન હેક કરી 22 હજાર સેરવી લીધાચાણક્યપુરીમાં રહેતો અને ગેરેજ ધરાવતા યુવકનો ફોન હેક કરીને કોઇ શખસોએ ઓનલાઇન પ્લેટફોર્મથી 22 હજાર સેરવી લેતા સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 11: લોનના નામે યુવક પાસે 29 હજાર પડાવ્યાનિર્ણયનગરમાં રહેતા 34 વર્ષીય યુવકે સો. મીડિયા પર જાહેરાત જોઇને લોન લેવા માટે મેસેજ કર્યો હતો. ગઠિયાએ લોનની ઓનલાઇન પ્રોસેસ કરાવી આપવાનું કહીને 29,500 પડાવી લેતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 12: પેટીએમના નામે યુવકના ખાતામાં 50 હજાર સેરવી લીધાશેરડીના રસની લારી ધરાવતા યુવક પાસે પેટીએમમાંથી આવ્યા હોવાનું કહીને બે લોકો આવ્યા હતા. આ શખસોએ કંપનીના નામે ક્યુઆર કોડ અને સાઉન્ડ મશીન આપીને જતા રહ્યા હતા. જે બાદ ગઠિયાઓ ફરી આવ્યા અને પેટીએમ વોલેટ ખાતામાંથી રેગ્યુલર ખાતામાં નાણાં આવી જાય તેવુ સેટિંગ કરવાના બહાને યુવકનો ફોન મેળવીને 50 હજાર સેરવીને ભાગી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
વર્ષ 2024માં અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ મથકે 30 વર્ષીય આરોપી કમલેશ વાઘેલા સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ.મહેતાએ સરકારી વકીલ ભરતસિંહ રાઠોડની દલીલો, 8 સાહેદ અને 35 પુરાવાને આધારે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. નદીમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંકેસને વિગતે જોતા ભોગ બનનાર સગીર 11 વર્ષ અને 8 મહિનાની ઉંમરનો હતો ત્યારે ફરિયાદી સગીરની માતાને આરોપીએ પોતાના પુત્રને ભાદર નદીમાં નાહવા જવાનું કહીને સાથે લઈ ગયો હતો. જ્યાં તેને નદીના પાણીમાં જ શરીરનો ટુવાલ ખેંચી લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીર ઘરે આવતા તેને પાછળના ભાગે દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ કર્યોઆટલું જ નહીં આ વાત જો સગીર કોઈને જણાવશે તો તેને ડુબાડીને મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સાથે 30 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. કોર્ટે સગીરને 4 લાખ રૂપિયા વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ અંતર્ગત ચૂકવવા હુકમ કર્યો હતો.
વડોદરાના લોકહ્રદયમાં વસેલા જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા હજરત સૈયદ અઝીમુદ્દુન મહમુદ નુરુલ્લાહ જીલાનીના 38માં વાર્ષિક ઉર્ષ અને સૈયદના મોઈને મિલ્લત હજરત સૈયદ મોઈનુંદ્દીન બાબા કાદરીના બીજા ઉર્ષની ઉજવણીનો વડોદરા શહેરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગૌસિયા મંજિલ અજબડી મિલ પાસેથી ગાદીપતિ હજરત સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી અને નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીની આગેવાનીમાં વિશાળ સંદલ જુલૂસ નીકળ્યું હતું, જેમાં સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું હતું. વિવિધ શહેરોમાંથી ઉમટી પડેલી જનમેદની આ જુલૂસમાં વડોદરા ઉપરાંત હાલોલ, કાલોલ, સુરત અને પેટલાદ જેવા શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રિફાઈ ગ્રુપના સભ્યોએ ડફ અને નગારાના તાલે સૂફી સંતો અને પયગમ્બર સાહેબની શાનમાં ભક્તિગીતો રજૂ કરીને વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું. માર્ગમાં દરેક સમુદાયના લોકોએ ફૂલહાર અને બેનરો લગાવીને ગાદીપતિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ રેલીમાં માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં, પણ ડોક્ટરો, વકીલો અને એન્જિનિયરો જેવા બુદ્ધિજીવીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વિધિ અને કાદરી લંગર મોડી સાંજે જુલૂસ મેમણ કોલોની, ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ પહોંચ્યું હતું. ત્યાં પરંપરાગત રીતે ચાદર અને ગુલપોશીની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અંતમાં સર્વ કલ્યાણ માટે દુઆઓ માંગવામાં આવી હતી અને કાદરી લંગરનું આયોજન થયું હતું. સમગ્ર આયોજન દરમિયાન પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો સહયોગ પ્રશંસનીય રહ્યો હતો. આગામી કાર્યક્રમોની રૂપરેખા ઉર્ષની ઉજવણી 4 દિવસ સુધી ચાલશે. 3 એપ્રિલના રોજ રાત્રે 10 કલાકે દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં સૂફીવાદ પર પ્રવચન અને શાયરીનો કાર્યક્રમ યોજાશે. 4 એપ્રિલ, શનિવારે સવારે 10 કલાકે કુરાન ખ્વાની અને મહેફિલે મિલાદ બાદ બપોરે 1.30 કલાકે 'કુલ શરીફ'ની વિધિ સાથે ઉર્ષનું સમાપન થશે. આ પ્રસંગે સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે.
ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના અધેલાઈ ગામના યુવકે શખસને યુવતીને મેસેજ કરવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી 8 જેટલા શખસોએ અલગ અલગ રીતે ભડભીડ ટોલનાકા અને અધેલાઈ ચોકડી પાસે હુમલો કરી લાકડી-પાઈપ વડે માર મારતા ત્રણ યુવકને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જે મામલે વેળાવદર ભાલ પોલીસ મથકમાં 8 શખસ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીને મેસેજ કરવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખીમળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના અધેલાઈ ગામે રહેતા મેહુલ બિજલભાઈ તલાવીયાએ ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના ગામમાં રહેતા રોહિત દુમાદીયાએ ગત તા.22ના રોજ યુવતીને મેસેજ કરતા તેને મેસેજ નહીં કરવા સમજાવવા જતા રોહિતે બાદમા ફોન કરી તેને અપશબ્દો આપ્યા હતાં. હુમલો કરીને લાકડી-પાઈપ વડે આડેધડ માર માર્યોતેના કુટુંબી ભાઈ જગદિશને ઝધડો કરવા બોલાવતો હતો, દરમિયાન ગત તા.31ના રોજ ભડભીડ ટોલનાકા પાસે તેના કુટુંબી ભાઈ જગદિશભાઈને જયપાલ, જગદિશ, વિશ્વાસ, રાજુએ માર મારતા તેઓ અને તેના કુટુંબી ભાઈ સંદિપ વલ્લભભાઈ તલાવીયા બન્ને બાઈક લઈને જતા હતાં, ત્યારે અધેલાઈ ચોકડી પાસે કારમાં આવેલા રસીક, ઉમેશ, બુધાએ તેઓને ઉભા રાખી હુમલો કરી લાકડી, પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. ત્રણેયને ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા'જો રોહિતને કાંઈ કિધુ તો' જીવતા નહી રહેવા દઈએ તેમ કહી ધમકી આપી હતી. દરમિયાન મારમારીમાં ઘવાયેલા ત્રણેય યુવકને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. 8 શખસો સામે ફરિયાદ નોંધાઈજે ફરીયાદ સંદર્ભે પોલીસે રોહિત દુમાદીયા, જગદિશ દુમાદીયા, જયપાલ દુમાદિયા, વિશ્વાસ દુમાદીયા, રાજુ દુમાદીયા, રસીક દુમાદીયા, ઉમેશ દુમાદીયા, બુધા દુમાદીયા (રે. તમામ અધેલાઈ) સામે BNS એક્ટ 115(2), 118(1), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જીતુ વાઘાણીએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું કે, એકસાથે આટલી મોટી ચૂંટણી યોજાશે તે રાજ્ય માટે ઐતિહાસિક ગૌરવ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે લાંબી ચૂંટણી પ્રક્રિયામાં નાના-મોટા વિક્ષેપ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ટૂંકા ગાળામાં જ જનતાને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળશે, જે લોકશાહી માટે સકારાત્મક છે. વાઘાણીએ જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં જનતાએ વધુમાં વધુ મતદાન કરીને વિકાસની દિશામાં કાર્ય કરનાર પ્રતિનિધિઓને પસંદ કરવા જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના વિકાસના એજન્ડાને લોકો ફરી એકવાર સમર્થન આપશે. 'ઉમેદવારો માટેના ક્રાઈટેરિયા નક્કી થશે'ઉમેદવાર પસંદગી અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં વાઘાણીએ જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારો માટેના માપદંડ (ક્રાઈટેરિયા) નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપ પારદર્શક અને લોકશાહી ઢબે ઉમેદવારોની પસંદગી કરે છે. 'કોંગ્રેસ અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગઈ છે'કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પર જવાબ આપતા વાઘાણીએ કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસ પોતે જ આંતરિક વિખવાદમાં ફસાઈ ગઈ છે અને વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ રહી છે. વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગઈ છે અને પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના આગમન બાદ બેઠકો યોજાઈ રહી છે, પરંતુ તેઓ હજુ સુધી મજબૂત ટીમ ઉભી કરી શક્યા નથી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ સત્તા માટે બેચેન બની ગઈ છે અને આવી નિવેદનબાજી કરીને પોતે જ પોતાની હાર સ્વીકારી રહી છે. 'કોંગ્રેસ અને આપ પાસે યોગ્ય ઉમેદવારો નથી'સેન્સ પ્રક્રિયા અંગે વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ લોકશાહી પદ્ધતિથી કામ કરે છે અને નિરીક્ષકો દ્વારા લોકોનો મત જાણી લેવામાં આવી રહ્યો છે. લોકોને વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ છે. ભાજપમાં ઉમેદવારની પસંદગી થયા બાદ પાર્ટી સંપૂર્ણ રીતે ઉમેદવાર સાથે ઉભી રહે છે, જ્યારે કોંગ્રેસમાં ટિકિટ આપ્યા પછી ઉમેદવારોને એકલા છોડી દેવામાં આવે છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને આપ પાસે યોગ્ય ઉમેદવારો નથી અને તેઓ માત્ર હાર માટે ઉમેદવારો ઊભા રાખે છે. 'કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી, છેલ્લી ઘડીએ કોઈને પણ ઊભા રાખે છે'ભાજપના સ્થાપના દિવસને લઈને પણ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ વર્ષના 365 દિવસ કાર્ય કરતી પાર્ટી છે, જ્યારે અન્ય પક્ષો માત્ર ચૂંટણી સમયે સક્રિય થાય છે. ભાજપ સતત લોકો સાથે સંપર્કમાં રહે છે અને ઘર-ઘર તિરંગા જેવા કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે રહે છે. તેમણે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને તેઓ છેલ્લી ઘડીએ કોઈને પણ ઊભા રાખે છે. અંતમાં વાઘાણીએ દાવો કર્યો કે આવનારી ચૂંટણીમાં ભાજપને જનતા ફરી એકવાર આશીર્વાદ આપશે અને 'કમળ ખીલશે, વિકાસ જીતશે'.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે શહેરના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના સક્રિય કાર્યકર ઋષિરાજસિંહ જાડેજા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના હસ્તે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ પહેલા ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના હાઈકમાન્ડને પત્ર લખીને પોતાના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. શરૂઆતમાં તેમણે 'અંગત કારણો' દર્શાવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાઈને અટકળોનો અંત લાવ્યા છે. ઋષિરાજસિંહની સાથે તેમના મિત્ર મંડળ અને મોટી સંખ્યામાં ટેકેદારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શાંતિનગર વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા ઋષિરાજસિંહના ભાજપમાં જોડાવાથી વોર્ડ નંબર-2માં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેમ મનાય છે. મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પક્ષ છોડવાની આ ઘટના કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. પોતાના રાજીનામા પત્રમાં તેમણે અગાઉ કોંગ્રેસ દ્વારા મળેલા માર્ગદર્શન અને તક બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જામનગરના વિકાસ માટે અને ભાજપની નીતિઓથી પ્રભાવિત થઈને મેં અને મારા સાથીઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હવે તેઓ દેશ અને શહેરના વિકાસની વિચારધારા સાથે જોડાઈને ભાજપના નેતૃત્વ હેઠળ કાર્ય કરવા તત્પર છે. જામનગરના રાજકારણમાં આ ફેરબદલ આગામી ચૂંટણીમાં કેવા પરિણામો લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
સુરત શહેર પોલીસ વિભાગમાં વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી પોલીસ કમિશનર દ્વારા વ્યાપક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા 15 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક અદલાબદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય જિલ્લાઓ અને રેન્જમાંથી બદલી થઈને સુરત હાજર થયેલા 12 નવા અધિકારીઓને પણ તાત્કાલિક અસરથી મહત્વના પોલીસ મથકો અને શાખાઓની જવાબદારી સોંપવામાં આવી છે. વહીવટી પ્રક્રિયા અને નવી નિમણૂંકનો હેતુપોલીસ કમિશનરના આ નિર્ણયને પગલે સુરતના અનેક પોલીસ સ્ટેશનોમાં હવે નવા ચહેરાઓ વહીવટ સંભાળશે. ખાસ કરીને સાયબર ક્રાઈમ, ટ્રાફિક અને મહિલા પોલીસ સ્ટેશન જેવી મહત્વની શાખાઓમાં નિમણૂંક આપીને કામગીરીને વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાનો નવો ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. અન્ય જિલ્લામાંથી આવેલા અધિકારીઓનું પોસ્ટિંગબહારથી આવેલા અધિકારીઓની યાદીમાં પંચમહાલથી આવેલા આર.એ. જાડેજાને સલાબતપુરા અને ખેડા-નડીયાદથી આવેલા કે.જી. દેસાઈને ભેસ્તાન પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. વડોદરા શહેરથી આવેલા એસ.ડી. રાતડા હવે અડાજણ વિસ્તારની કમાન સંભાળશે, જ્યારે ડાંગ-આહવાથી આવેલા એ.આર. વાળાને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. નવસારીથી આવેલા ડી.એસ. કોરાટને સરથાણા પોલીસ મથકની જવાબદારી અપાઈ છે. પશ્ચિમ રેલવેથી આવેલા ભારતીબેન પી. વેગડાને ટ્રાફિક શાખામાં અને પંચમહાલ રેન્જથી આવેલા યુવરાજસિંહ એસ. સિસોદિયાને સાયબર ક્રાઈમમાં નિમણૂંક આપવામાં આવી છે. વિશેષ શાખાઓમાં અનુભવી અધિકારીઓની એન્ટ્રીરાજકોટથી આવેલા સ્મિતાબેન એન. રાઠોડને કંટ્રોલરૂમ અને ખેડા-નડીયાદથી આવેલા વી.ડી. મંડોરાને સાયબર ક્રાઈમમાં પોસ્ટિંગ અપાયું છે. જૂનાગઢથી આવેલા ડી.જે. ઝાલાને ટ્રાફિક શાખા, વલસાડથી આવેલા પી.એ. વળવીને લીંબાયત અને વડોદરાથી આવેલા ભાવનાબેન એલ. મહેરીયાને મહિલા પોલીસ સ્ટેશન (સેક્ટર-1) ની જવાબદારી સોંપાઈ છે. આ નિમણૂંકો શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને મહિલા સુરક્ષાના પાસાઓને વધુ મજબૂત બનાવશે તેવી ધારણા છે. શહેરના 15 PIની આંતરિક અદલાબદલીની વિગતોશહેરની અંદર થયેલી બદલીઓમાં શીતલ શાહને પાલથી ઇચ્છાપોર અને બી.એ. ભટ્ટને મહિલા પોલીસ સ્ટેશનથી પાલ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક મળી છે. વિશેષ શાખાના ડી.યુ. બારડને મહિધરપુરા અને એસ.ઓ.જી.ના ટી.બી. પંડ્યાને રાંદેર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે. જે.એચ. ઝાંબરેને ઉધના-2થી અલથાણ અને બી.બી. પરમારને સચીન GIDCથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. મહિલા અધિકારીઓમાં મીનાબા ઝાલાને લસકાણા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે. જાહેર સુરક્ષા અને નવી વ્યુહરચનાજે.એન. ભરવાડને ખટોદરા અને એમ.વી. પટેલને ડુમસ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એચ.બી. પટેલ હવે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન સંભાળશે. વી.બી. ગોહિલને ટ્રાફિકમાંથી ગોડાદરા અને જે.એ. રાઠવાને ઉમરાથી વેસુ પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. આર.એમ. ઠાકોરને ઉધના અને એચ.જય. સોલંકીને લાલગેટ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. એમ.આર. સોલંકીને કાપોદ્રા-I PI તરીકે જવાબદારી અપાઈ છે. આ ફેરફારોથી સ્થાનિક સ્તરે પોલીસિંગમાં નવી પદ્ધતિઓ અને કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે.
ગોધરા પાસે બાઈક સ્લિપ થતા યુવાન ગંભીર ઈજાગ્રસ્ત:ભામૈયા પૂર્વના યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં માર્ગ અકસ્માત થયો છે. ગોધરાના ચાંચેલવ પાસે બાઈક સ્લિપ થતાં ભામૈયા પૂર્વ ગામના ગણપતભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગણપતભાઈ પટેલ આજે બપોરે પોતાના બાઈક પર કોઈ કામ અર્થે ગોધરા શહેર તરફ જઈ રહ્યા હતા. ગોધરા નજીક ચાંચેલવ પાસેથી પસાર થતી વખતે અચાનક તેમનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. બાઈક પરથી કાબૂ ગુમાવતા ગણપતભાઈ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે શરીરના અન્ય ભાગોએ પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ગણપતભાઈને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાનું પ્રશાસન અને સહાય સંસ્થાઓના સહયોગથી પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. 26 માર્ચ, 2026ના રોજ સાંજે 181 મહિલા અભયમ હેલ્પલાઈન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિ અને સાસુએ મારકૂટ કરીને તેને ઘરેથી કાઢી મૂકી હતી. પિયર પક્ષમાં પણ કોઈ સહારો ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાઈ હતી. આ પરિસ્થિતિમાં મહિલાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેને 181 હેલ્પલાઈન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી. સેન્ટર ખાતે મહિલાને તાત્કાલિક આશ્રય અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ ફરીથી પોતાના ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા સખી સેન્ટરની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી. ટીમે મહિલાને ઝઘડિયા તાલુકાના ગામ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડી હતી. સ્થળ પર પહોંચી ટીમે મહિલાના પરિવારજનો સાથે ચર્ચા કરી. ગામના સરપંચ અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના પી.એલ.વી.ના સહયોગથી પતિ અને સાસુ સાથે સમાધાન કરાવવામાં આવ્યું. બંને પક્ષ વચ્ચે સમજૂતી થતાં મહિલાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન થયું.
રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનિક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂ. 25 લાખની માંગણી કરવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આજ રોજ 1 એપ્રિલના પોલીસે અજયસિંહ ચુડાસમા નામના શખ્સની ધરપકડ કરી છે જે અગાઉ ઝડપાયેલ આરોપી ડોક્ટર કેતન નાંઢાનો મિત્ર છે અને ડોક્ટર કેતનએ જ તેને વીડિયો આપી રૂપિયા પડાવવા માટે જાણ કરી હતી. આ પછી તેમણે પોતાના સત્યની ગર્જના અખબારના ભાગીદાર સહીત ચાર લોકો સાથે મળી ડોક્ટર પાસે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી. હાલ આ કેસમાં હજુ 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 2 ઝડપાયા, 10 આરોપીઓ પોલીસ પકડથી દૂરરાજકોટ શહેર સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઇટી એક્ટની કલમ 66(E), 67, અને 67(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમના વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડો.કમલ નાંઢા, હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે. લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કર્યો હતોઆ કેસમાં ફરિયાદીના ક્લિનિકમાં ડો. કમલ નાંઢા નામના શખ્સ દ્વારા ફરિયાદીના ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું. જયારે પણ બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઇ જતું હતું અને મેમરી કાર્ડમાં તે સ્ટોરેજ થતું હતું. સ્પાય કેમેરા મારફત ક્લિનિકના માલિક તબીબની અંગત પળોની વિડીયો ફૂટેજ સ્ટોર કરી હતી. તબીબને બ્લેકમેલ કરીને 25 લાખની ખંડણી માગીઅગાઉ ડોક્ટર કમલની ધરપકડ બાદ આજે તેના મિત્ર અજયસિંહ ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે. અજયસિંહ ચુડાસમા કે જે પત્રકાર હોવાનું જણાવતા તેમની સાથે ડોક્ટર કમલ નાંઢાએ વિડીયો શેર કરી રૂપિયા પડાવવા માટે પ્લાન બનાવ્યો હતો. આ પછી આરોપી અજયસિંહ ચુડાસમા દ્વારા પોતાના સત્યની ગર્જના અખબારના ભાગીદાર હિરેન મકવાણાને જાણ કરતા તેઓ ચાર લોકો મળી તબીબને બ્લેકમેલ કરી તેની પાસેથી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી પણ કરવામાં આવી હતી. આરોપીનો ગુનાહિત ઈતિહાસપોલીસ તપાસમાં આરોપી અજયસિંહ ચુડાસમા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. અજયસિંહ ચુડાસમા વિરુદ્ધ અગાઉ મારામારીના ત્રણ ગુના, પ્રોહિબિશનના બે ગુના તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આમ અત્યાર સુધી આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે હજુ પણ 10 આરોપીઓ ફરાર હોવાથી પોલીસ દ્વારા તમામની શોધખોળ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમમાં પાગલ ડોક્ટરનું ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવીને કારસ્તાન પોલીસ તપાસ દરમિયાન સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો.કમલ નાંઢા નામના તબીબને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ હતો જેના કારણે તેને ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો ઇન્સ્ટોલ કર્યો હતો બાદમાં તેને તબીબ સાથેની અંગત પળોના ફૂટેજ જોતા દાંત બગડી હતી અને ખંડણી માટે પ્લાન બનાવ્યો હતો અને ખંડણીની માંગણી કરી હતી. આ તમામ અંગત પળોના વિડીયો 2023ના હતા જેમાં જૂન 2024થી સતત ફરિયાદીને ધાક ધમકીઓ આપી વારંવાર બદનામ કરવાનું કહી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તાજેતરમાં પણ આજ રીતે ફરી ફોન મેસેજ અને પેમ્પલેટ બનાવી વાયરલ કરી રૂપિયાની માંગણી સતત ચાલુ રાખવામાં આવતા અંતે કંટાળી ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસે કુલ 3000 થી વધુ વિડીયો રેકોર્ડિંગ હોવાનું સામે આવ્યું છે જેમાં ડોક્ટરની અંગત પળોના વિડીયોનો સમાવેશ થાય છે અને સાથે જે દર્દીઓને ઇન્જેક્શન લગાવવામાં આવતા હોય તે વિડીયો ફુટેજનો પણ સમાવેશ થાય છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ગીર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પ્રોહીબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે GUJCTOC એક્ટ-2015 હેઠળ ગુનો નોંધી, ગેંગ લીડર રોહિત ઉર્ફે “રેમ્બો” બારીયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાયદો 2015માં અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સંગઠિત ગુનાખોરી કરતી ટોળકીઓને નિયંત્રિત કરવાનો છે. ગીર સોમનાથમાં આ કાયદાનો ઉપયોગ કરીને પ્રથમવાર આવી અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે ગુપ્ત તપાસ હાથ ધરી હતી. ઈ-ગુજકોપ સિસ્ટમમાંથી મળેલી માહિતીના આધારે આ ગુનાહિત ટોળકીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ વેરાવળ, પ્રભાસ પાટણ અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી સક્રિય હતી. તેઓ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો અને દીવ, દમણ, ગોવા જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ મંગાવી તેનો સંગ્રહ અને વેચાણ કરતા હતા. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે “રેમ્બો” બારીયા હતો, જે પોતાના સાગરિતો સાથે મોટા પાયે દારૂની હેરાફેરી કરતો હતો. આ ગેંગ દ્વારા કમાયેલા કાળા નાણાં પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવતો ન હતો, જેના કારણે રાજ્યના અર્થતંત્રને નુકસાન થતું હતું. પોલીસે ગેંગ લીડર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે, જેમણે અનેક ગુનાઓ આચર્યા છે. જોકે, એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં GUJCTOCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ડીવાયએસપી વેરાવળ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
શું તમે કલ્પના કરી શકો છો કે જે ગલ્ફમાં એટલે કે ઈસ્લામિક દેશોમાં 80 વર્ષથી અમેરિકાની મિસાઈલોનો દબદબો હતો, ત્યાંની શાંતિની સ્ક્રિપ્ટ આજે બેજિંગમાં લખાઈ રહી છે? આજની તારીખે બોમ્બ ભલે ઈરાન પર વરસે પણ તેનો આર્થિક આંચકો બધે લાગ્યો છે. ખાસ તો અમેરિકાના મહાન હોવાના દાવાને. કારણ કે જેમ વર્ષો પહેલા બ્રિટન જેવી મહાસત્તાનું પતન થયું હતું, તેવી જ કટોકટીમાં આજે અમેરિકા મુકાયું છે. અમેરિકાના દાવા મુજબ તેમણે ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને પરમાણુ મથકો તોડી પાડ્યા છે પણ હોર્મુઝમાં રહેલા જહાજો આજે પણ અમેરિકા પાછા નથી લાવી શકી. અને જ્યારે આ બધુ જ ચાલી રહ્યું છે ત્યારે ચીન અને પાકિસ્તાને સાથે મળીને યુદ્ધને રોકવા પાંચ પોઈન્ટનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેઅમેરિકાને કરવાનું હોય (જો કે હાલની પરિસ્થિતિ મુજબ ઈચ્છા છતાં કંઈક કરી નથી શકતું તે વાત અલગ છે) તે ચીન કરી રહ્યું છે તે જોઈને અમેરિકાનો ઈગો ઘવાયો છે. માટે આજે આપણે વાત કરીશું કે અમેરિકા કેવી રીતે જીતવાની કગાર પર હોવા છતાં હારી ગયું છે? ચીન અને પાકિસ્તાનનો શું પ્લાન છે? શું ચીન અમેરિકાને પાડીને દુનિયાનો ધણીધૂરી બનશે? નમસ્કાર... આજે એપ્રિલફૂલના દિવસે મિડલ ઈસ્ટમાં દુનિયા અને ખાસ કરીને અમેરિકાની અગ્નિ પરીક્ષા ચાલી રહી છે. લાગે છે કે ઈસ્લામિક દેશોમાં અમેરિકાનો દબદબો ઓગળી રહ્યો છે અને ચીનનો પાવર વધી રહ્યો છે. આવું એટલા માટે કારણ કે અમેરિકાએ ઈઝરાયલને આગળ ધરીને યુદ્ધ તો શરું કરી દીધું પણ રોકવાના ફાંફાં પડી ગયા છે. વોશિંગ્ટનમાં બેસીને ટ્રમ્પ યુદ્ધ જીતી ગયા હોવાની વાતો કરી રહ્યા છે પણ ઈરાન ટસનું મસ નથી થઈ રહ્યું અને હુમલા ઉપર હુમલા કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનની બંધ બારણે બેઠકએવામાં ઈન્ટરનેશનલ જગતમાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે હોર્મુઝ સ્ટ્રેટની અગન જ્વાળાઓ રોકવા ચીન ફાયરમેન બનીને આગળ આવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઈશાક ડાર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બેજિંગમાં એક બંધ બારણે બેઠક મળી. આ બેઠકમાં પાંચ મુદ્દાનો એક પ્લાન બન્યો છે જેનાથી ઈઝરાયલ ઈરાન યુદ્ધ રોકાઈ જાય. આ પ્લાનમાં ટ્રમ્પની ધાકધમકી નહીં પણ લોકોને ફાયદો થાય અને શાંતિથી વાત થાય એવા મુદ્દાઓ છે. ઉપરથી અમેરિકાના બધા મુસ્લીમ દેશો સાથે સંબંધો છે જ્યારે ચીનના બધા ઈસ્લામિક કન્ટ્રી જોડે સારા સંબંધો છે. યુદ્ધનું અતથી ઈતિયુદ્ધની અપડેટ માહિતીની વાત કરીએ તો 28 ફેબ્રુઆરીએ અમેરિકાએ ઈઝરાયલના એડવાન્સ્ડ ફાઈટર જેટ્સથી ઈરાનના ન્યુક્લિયર સેન્ટર્સ પર અને આર્મી બેઝ પર હુમલાઓ કર્યા હતા. દુનિયાને લાગ્યું કે યુદ્ધ થોડા દિવસોમાં પૂરું થઈ જશે પણ એવું ન થયું. ઈરાને હિંમત હાર્યા વગર અમેરિકાના આર્મી બેઝ અને ઈઝરાયલ પર જોરદાર હુમલાઓ કર્યા. ઈરાને પણ અમેરિકાની જેમ દુનિયાને તેલના કૂવાઓ પર હુમલાઓ અને હોર્મુઝ સ્ટ્રેટથી સપ્લાય ચેઈન રોકીને હેરાન કરી. લાશોના ઢગલા અને લાખોનું માઈગ્રેશન2 માર્ચે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે મોરચો માંડ્યો. 16 માર્ચે ઈઝરાયલે લેબનોનની જમીન પર આક્રમણ કરી જમીન હડપી. કહેવાય છે કે શરૂઆતથી અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 1200થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી રિપોર્ટ્સ મુજબ મોટાભાગના તો સામાન્ય નાગરિકો છે. યુદ્ધના કારણે પોતાના પર આંચ ન આવે તે માટે 10 લાખથી વધુ લોકોએ ઘરબાર છોડી ચૂક્યા છે. હારની કગાર છતાં ઈરાને અમેરિકાને હંફાવ્યુંટ્રમ્પ સરકારે દાવો કર્યો હતો કે 4-5 અઠવાડિયામાં યુદ્ધ પૂરું થશે પણ બે મહિના થઈ ગયા છે. યુદ્ધ પૂરું થવાના કે શાંતિના કોઈ એંધાણ નથી દેખાતા. ઈરાનના ટોપ લીડર્સને મારવામાં અને ઈરાનને નબળું પાડવામાં અમેરિકા સક્સેસફૂલ રહ્યું છે પણ યુદ્ધ રોકવામાં અમેરિકાને ફીણાં આવી ગયા છે. ઉપરથી ઈરાનના સતત હુમલાથી અમેરિકા અને ઈઝરાયલને પણ ખૂબ જ નુકસાન થયું છે. ઈન્ટરનેશલ મીડિયા રિપોર્ટમાં તો એવા સમાચારો છે કે યુદ્ધ લડવા અમેરિકાનો દારૂગોળો અને રૂપિયા પૂરા થવા આવ્યા છે. માટે જ ટ્રમ્પ મિડલ ઈસ્ટના દેશો પાસે યુદ્ધ લડવાના રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે. ગૂગલના ડેટાસેન્ટર્સ ઉડાવી દેવાની ઈરાની ધમકીઆજના જ લેટેસ્ટ રિપોર્ટ્સની વાત કરીએ તો ઈરાની સેના IRGCએ અમેરિકાને ચોખ્ખી ધમકી આપી છે કે જો તે હુમલાઓ ચાલુ રાખશે, તો ઈરાન મિડલ ઈસ્ટના ગૂગલ કે માઈક્રોસોફ્ટ જેવા જેટલા પણ અમેરિકી ટેક જાયન્સના માળખા છે તેના પર મિસાઈલનો મારો ચલાવશે. આજના સમયમાં બિલ્ડિંગના માળખા કરતા ડેટા સેન્ટરની ઈમ્પોર્ટન્સ વધુ છે. યુદ્ધ રોકવું ચીનનું ઈમેજ મેકઓવરઆ જૂની વાતો કરવાની જરૂર એટલા માટે છે કારણ કે તેનાથી સમજી શકાય કે અમેરિકા જીતની કગાર પર હોવા છતા કેવી રીતે યુદ્ધ રોકવામાં હારી ગયું છે. એવામાં હવે યુદ્ધ રોકવાનો રસ્તો ચીને સાફ કરી આપ્યો છે. અત્યાર સુધી ચીન આર્થિક મહાસત્તા હતું પણ યુદ્ધ રોકવાના નિર્ણયના કારણે પશ્ચિમમાં ચીનની ઈમેજ ડિપ્લોમેટિક મીડિયેટર તરીકે પણ બની આવી છે. અમેરિકાનું એગ્રેશન ને ચીનની ચાલાકીચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પ્લાન એવો છે કે કોઈ પણ ઈસ્લામીક દેશના અંદરૂની મામલામાં હસ્તક્ષેપ કર્યા વગર શાંતિથી અને વાતચીતથી યુદ્ધ પૂરું કરી શકાય. સામેની બાજુ અમેરિકા સેનાની કાર્યવાહી અને ધમકીઓનો ઉપયોગ કરીને યુદ્ધ રોકવા માગે છે. ચીનની વિદેશ નીતિ આમ તો એવી રહી છે કે પહેલો હુમલો અમે નહીં કરીએ પણ જો તમે પહેલો હુમલો કરશો તો અમે બીજો હુમલો કરવા લાયક નહીં છોડીએ. જો કે એક બીજી બાજુ પણ છે જેની આપણે વાત કરવી બને. ડ્રેગનની ડિપ્લોમેટિક સક્સેસનો ઈતિહાસ ICJ-UNSCને હટાવી IOMedને પહેલવાન બનાવવાનો પ્લાન2025માં હોંગકોંગમાં ચીને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર મીડિયેશનનું ઉદ્ઘાટન કર્યું. આ ફોરમનો પ્લાન હતો કે દુનિયામાં એક એવી ઈન્ટરનેશનલ પ્લસ સરકારી સંસ્થા બને જે માત્રને માત્ર વાતચીતથી ઝઘડાઓ બંધ કે પૂરા કરાવે. સામાન્ય રીતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અથવા UNની સિક્યોરિટી કાઉન્સિલ આ પ્રકારના ઝઘડાઓ પૂરા કરે છે પણ તેમાં પશ્ચિમ દેશોનો વધુ દબદબો છે. અમુકવાર નાના દેશોની વાત દબાઈ પણ જાય છે. મિડલ ઈસ્ટ તો વેસ્ટર્ન ઓર્ગેનાઈઝેશન્સને પક્ષપાતી અને સામ્રાજ્યવાદી માને છે. સામેની બાજુ ચીન IOMedથી એવું પ્લેટફોર્મ બનાવવા માગે છે જેમાં પશ્ચિમી દેશોનો દબદબો ન હોય અને વિવાદ વધાર્યા વગર વિવાદનો અંત આવી શકે. યુદ્ધથી ચીન-રશિયાને કોઈ મોટી અસર નહીં!અમેરિકાએ ઈરાન પર મેક્સિમમ પ્રેશરથી પ્રતિબંધો લાદીને તેની રિયાલ કરન્સીને તોડી નાખી છે, પણ ચીને તેના BRI પ્રોજેક્ટ્સ અને રશિયા-મિડલ એશિયા પાઈપલાઈન્સથી પોતાની ઊર્જા સુરક્ષા કવચ બનાવી લીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થવા છતાં ચીન કે રશિયાની ઈકોનોમીને કોઈ ખાસ મોટી અસર નથી થઈ. જે પણ બેજિંગને સોદાબાજી માટે મજબૂત ઓપ્શન તરીકે રજૂ કરે છે. યુદ્ધ રોકવા પાછળ ચીનનો અસલી આશયપણ ચીન આ બધુ સમાજ સેવા કરવા નથી કરી રહ્યું. ચીનનું સૌથી વધુ તેલ સાઉદી અરેબિયા અને ઈરાનથી આવે છે. ચીન તેની જરૂરિયાતનું 40% થી 45% તેલ મિડલ ઈસ્ટના દેશો પાસેથી ખરીદે છે એટલે જો મિડલ ઈસ્ટમાં કોઈ છમકલું થાય તો સીધું નુકસાન ચીનને પણ થાય. ઉપરથી આ જ વિસ્તારમાં ચીનનો BRI એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ પ્રોજક્ટ ચાલી રહ્યો છે જેમાં ચીન રૂપિયાનો વરસાદ કરી રહ્યું છે. જેમાં ચીન નુકસાન ન થાય તેના માટે મિડલ ઈસ્ટમાં શાંતિ ઈચ્છી રહ્યું છે. મુસ્લીમ દેશોના રજનીકાંત ચીન કે અમેરિકા?હવે આપણે વાત કરીએ મુસ્લીમ દેશો અમેરિકા બાજુ વધુ છે કે ચીન બાજું? જ્યાં યુદ્ધ ચાલુ છે તે ઈરાનની જ વાત કરીએ તો 2021માં 25 વર્ષના કરાર અને SCOમાં મેમ્બરશીપ પછી તે પૂરી રીતે રશિયા અને ચીન બાજુ છે. પાકિસ્તાને ચીનના પ્લાનમાં પણ શામેલ થયું અને અમેરિકા સાથે મળીને યુદ્ધ પૂરું કરવા મીટિંગ કરી. એટલે તે દૂધ અને દહીં બંનેમાં રહેવામાં માને છે. સાઉદી અરેબિયા અને યુએઈની વાત કરીએ તો તે પણ અમેરિકા અને રશિયા-ચીન મામલે ન્યુટ્રલ છે. આ બંને દેશો સિક્યોરિટી માટે અમેરિકા પર નિર્ભર છે પણ ટેક્નોલોજી મામલે ચીન તરફ ઝુકેલા છે. 2023ના બેજિંગ કરારથી સમજી શકાય છે કે આ બંને દેશો એક રીતે જોવા જઈએ તો અમેરિકાની સામે ચીન રશિયા બાજુ વધુ નમેલા છે. ઈસ્લામિક દેશોમાં સોફ્ટવેર અમેરિકાન, હાર્ડવેર ચીનીટૂંકમાં સમજીએ તો મીડલ ઈસ્ટ દેશો કે ઈસ્લામિક કન્ટ્રીમાં સોફ્ટવેર અમેરિકાના છે અને હાર્ડવેર રશિયા-ચીનના છે અને તે બંનોનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે આપણે ચાર મુદ્દાથી સમજીએ કે જો ચીન યુદ્ધ રોકવામાં બાજી મારી જાય તો અમેરિકાને ઈન્ટરનેશનલ લેવલે શું નુકસાન થઈ શકે તેની. પેટ્રો ડોલર નહીં હવે પેટ્રો યુઆન?જો ચીન યુદ્ધ રોકી દે તો સાઉદી અને બીજા ખાડી દેશોને લાગશે કે તેમને પોતાની સુરક્ષા માટે અમેરિકાના મોંઘા શસ્ત્રો અને મથકોની બિલકુલ જરૂર નથી. જો આવું થાય તો અમેરિકાના ડોલરને મોટો ઝટકો લાગી શકે તેમ છે. કારણ કે આપણે પેટ્રો ડોલરનો કરાર જોયો જ હતો કે અમેરિકા સુરક્ષા આપશે અને મીડલ ઈસ્ટ ડોલરમાં તેલ વેચશે. જો ચીન યુદ્ધ રોકી દે તો ભવિષ્યમાં સાઉદી જેવા તેલ દેશો અમેરિકા કરતા ચીન બાજુ વધુ ઢળી શકે. જો આવું થાય તો પેટ્રો-યુઆન નામનો કોઈ કોન્સેપ્ટ પણ બની શકે કે દુનિયા સામે રજૂ થાય. પાકિસ્તાન પહેલા ઈરાનથી ભીખ માગતું હતું પણ સાઉદીની તાકાત વધી તો સાઉદીના ખેમામાં જતું રહ્યું. જો ચીન ઉદ્ધ રોકી દે તો એવું પણ બની શકે કે પાકિસ્તાન અમેરિકાની દોસ્તી તોડીને ચીનના ખોળામાં બેસી જાય. જો ચીન યુદ્ધ રોકે તો ટ્રમ્પ માટે કાબુલ કરતા પણ ખરાબ હાલત થશે. કારણ કે અમેરિકાની જનતા ટ્રમ્પને પૂછશે કે યુદ્ધમાં તમે અમારા ટેક્સના અબજો રૂપિયા ફૂંકી માર્યા અને જશ ચીન કેમ ખાટી ગયું? અમેરિકા-પાકની યુદ્ધ ડિપ્લોમસી ફેલહમણા થોડા દિવસ પહેલા આપણે વાત કરી હતી કે કેવી રીતે પાકિસ્તાન યુદ્ધ રોકવા મધ્યસ્થી કરવાનું હતું અને અમેરિકા સાથે બેસીને મીટિંગ પણ કરી. આ પ્લાન કાગળનો વાઘ સાબિત થયો કારણ કે ટ્રમ્પની શરતો ઈરાન માટે શાંતિ મંત્રણા ઓછી અને ધમકી વધુ હોય તેવી હતી. તો શું ચીનનો પ્લાન સક્સેસફૂલ રહેશે કે કેમ તે મોટો સવાલ બની શકે. અમેરિકા નહીં ઈચ્છે યુદ્ધનો શ્રેય ચીન લઈ જાયતો અહીં અમુક સવાલો ઉભા થાય છે. કારણ કે અમેરિકા પાસે મિડલ ઈસ્ટમાં કન્ટ્રોલ કરવા પોતાની આર્મી અને બેઝ છે. ચીન પાસે મિડલ ઈસ્ટમાં અમેરિકાની જેમ મોટું સૈન્ય બળ નથી તો હોર્મુઝમાં જહાજોને કેવી રીતે સુરક્ષા મળશે તે મોટો સવાલ બની શકે. બીજી બાજુ અમેરિકા ક્યારેય નહીં ઈચ્છે કે યુદ્ધ રોકવાનો શ્રેય ચીનને મળે. માટે તે પોતાના 15 મુદ્દાના પ્લાનનું દબાણ ફરી વધારી શકે કે કોઈ મોટો હુમલો કરીને યુદ્ધને વધુ ભડકાવી શકે તેમ છે. ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો આટલા ભયાનક હાલ થયા બાદ પણ ઈરાન ડગ દેવા તૈયાર નથી. અને ઈઝરાયલને તો ઈરાનનો ખાત્મો જ જોઈએ છે. આગળ શું થશે તે કહેવું અંધારામાં તીર મારવા જેવું છે. હવે યુદ્ધની તંગદિલીથી હટીને આપણે એવી વાતોનું વિશ્લેષણ કરીએ જે ખરેખર ચોંકાવનારું છે. જ્યારે 2026ની શરૂઆત થઈ જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની ન્યૂ યર સ્પીચમાં પશ્ચિમ દેશોનું નામ લીધા વગર કહ્યું હતું કે, અમે વિશ્વ પર નિયંત્રણ મેળવવા નથી માંગતા, પરંતુ તેને એવા લોકોથી મુક્ત કરવા માંગીએ છીએ જેઓ માને છે કે વિશ્વ તેમનું છે. અમેરિકાની ધમકી ને ચીનની ભાઈબંધીહાથીના દાંત ખાવના અને દેખાડવાના અલગ હોય છે પણ ડ્રેગનની આગમાં કેટલી સચ્ચાઈ હોય શકે તે ગંભીર ચર્ચાનો વિષય છે પણ આનાથી એક એંગલ એવો વિચારી શકાય કે ચીન પોતાની જાતને નેતા બનાવવા માગે છે પણ અમેરિકાની જેમ ધાક ધમકી કે થોપી બેસાડેલા ઓર્ડર્સથી નહીં પણ સબ કા સાથ સબકા વિકાસની જેમ. ચીન પોતાની વિસ્તારવાદી નીતિના કારણે બીજા દેશોના મામલામાં ડખા કરે છે પણ અહીં પાંચ મુદ્દાઓથી મીડલ ઈસ્ટ માટે એક વાત એવી સામે આવી શકે કે ચીન બીજા દેશોની સૌવેર્નિટીનું સન્માન કરે છે. ખૈર, એક્સપર્ટનું આ મામલે શું કહેવું છે તે પણ જાણીએ ચીનના વધતા પાવર પર એક્સપર્ટની વાતફાઈનાન્શિયલ ટાઈમ્સના ઈકોનોમિક ઈશ્યુના રાઈટર તેજ પરીખનું કહેવું છે કે, ચીનની લાંબા ગાળાની વિચારસરણી અને આર્થિક લવચીકતા તેને પશ્ચિમ એશિયાની અસ્થિરતાનો લાભ લેવા માટે શ્રેષ્ઠ સ્થાને રાખે છે. હૂવર ઈન્સ્ટિટ્યૂશનના ડૉ. એલિઝાબેથ ઇકોનોમીનું માનવું છે કે, ચીનને સુપરપાવર બનવાના અધિકારો ગમે છે, પરંતુ તે વૈશ્વિક સુરક્ષા અને વિકાસનો બોજ અમેરિકાની જેમ ઉપાડવા માંગતું નથી. તો બ્રિટિશ હિસ્ટોરિયન અને પોલિટિકલ સાયન્ટિસ્ટ રાણા મિત્તરનું કહેવું છે કે, ચીન અમેરિકાની સૈન્ય નબળાઈઓને આર્થિક અને રાજદ્વારી જીતમાં બદલવામાં માહિર છે. પોલીસ નહીં મેનેજર બનવામાં ચીનને રસ?સાવ સાદી રીતે સમજીએ તો બીટવીન ધ લાઈન એક્સપર્ટનું માનવું છે કે, જો ચીન આ યુદ્ધ અટકાવી શકે, તો તે વિશ્વની સુપરપાવર શક્તિ જ નહીં, પણ મલ્ટી પોલર સેન્ટર તરીકે પણ ઉભરી શકે તેમ છે. ચીન અમેરિકાની જેમ વિશ્વના પોલીસમેન બનવાને બદલે વિશ્વના મેનેજર બનવાનું વધુ પસંદ કરશે. હવે આપણે ચીનની શક્તિની વાત કરીએ. એપ્રિલ 2026 સુધીમાં ચીના ખાલી ડિપ્લોમેટિક લેવલે જ નહીં પણ ટેક્નોલોજી અને ઈકોનોમી લેવલે પણ મોટા તીર માર્યાં છે. રાજનીતિ નહીં ટેક દુનિયામાં પણ ચીની ડંકોચીને મેડ ઈન ચાઈના 2025ના 86 ટકા કામો પૂરા કર્યા છે. જેના કારણે દુનિયામાં ચીન AI, સોલર પાવર અને ઇલેક્ટ્રિક વાહનોમાં હવે અજેય છે. 2026માં ચીને પોતાની જીડીપીનો ટાર્ગેટ 4.5થી 5 ટકાનો જાળવી રાખ્યો છે. જે જણાવે છે કે ચીન ઈકોનોમીની દ્રષ્ટિએ દુનિયાના સ્ટેબલ દેશોમાંનું એક છે. ચીને પોતાના 14 પાડોશીઓમાંથી 12 જોડે પોતાના બોર્ડર ઝઘડાઓ સંકેલી લીધા છે માત્ર ભારત અને ભુટાન સાથે ઝઘડાઓ છે. જો આમાં પણ કંઈ સેટલમેન્ટ થાય તો ચીનના કોઈ પાડોશી દેશો સાથે બોર્ડર મામલે ઝઘડાઓ નહીં રહે. પણ જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ ચીન પાસે દેવું અને વસ્તી જેવા પડકારો આજે પણ પર્વતની જેમ સામે ઉભા છે. આપણે ક્યારના ચીનની જ વાત કરી રહ્યા છીએ. જો કે મીટિંગ ચીન અને પાકિસ્તાન બંને વચ્ચે થઈ હતી. પુસ્તકના લેખક ભલે ચીન છે પણ પુસ્તક ઘરે પહોંચાડનાર ફેરિયો તો અહીં પાકિસ્તાન છે. તો નિષ્પક્ષ થઈને પાકિસ્તાનની વાત કરવી પણ બને. ચીન-અમેરિકા જાની દુશ્મન પણ પાકિસ્તાનના દોસ્તચીનના ઈરાન અને પાકિસ્તાન બંને દેશો સાથે સારા સંબંધો છે. પાકિસ્તાન ઈસ્લામિક રાષ્ટ્ર હોવાના કારણે સાઉદી અરેબિયા સાથે પણ એક ટેબલે બેસી શકે છે અને ઈરાન સાથે પણ. જો કે આ મામલે પાકિસ્તાન બેલેન્સ નથી જાળવી શક્યું તે વાત અલગ છે. પાકિસ્તાન નાટો દેશોમાં નથી છતાં અમેરિકા સાથે નોન નાટો તરીકે સારા સંબંધો છે. ઉપરથી અમેરિકા અને ચીન એકબીજાના જાની દુશ્મન છે તો પણ પાકિસ્તાનના બંને દેશો સાથે સારી બને છે. ટ્રમ્પે ચીનથી કેમ દૂરી બનાવી?યાદ હોય તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આવતા મહિનાની 14-15 તારીખે મીટિંગ હતી. પણ યુદ્ધના કારણે આ મીટિંગ લંબાવી દેવાઈ છે. જેનો સીધો મતલબ એવો થઈ શકે કે આવતા દોઢ મહિના સુધી પોતાના ઓવર એગ્રેશનના અમેરિકાનો તો યુદ્ધ રોકવાનો કોઈ પ્લાન સફળ જાય તેમ લાગતું નથી. તો વધે ચીનના પાંચ મુદ્દાનો એકલો ઓપ્શન જે બની શકે કે ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ રોકી શકે. દુનિયાનો ધણી અમેરિકા નહીં પણ ચીન?ચીન અને પાકિસ્તાનનો પાંચ મુદ્દાનો શાંતિ પ્લાન અત્યારે વિશ્વ માટે એક આશાનું કિરણ પણ છે અને અમેરિકા માટે ખતરાની ઘંટડી પણ. કારણ કે જો આ પ્લાન જમીન પર ઉતરે છે અને હોર્મુઝની સામુદ્રધુની ખુલે છે, તો 21મી સદીના ઇતિહાસના પુસ્તકોમાં 2026નું વર્ષ એવા વર્ષ તરીકે લખાશે જ્યારે પશ્ચિમી વર્ચસ્વનો સૂર્ય આથમ્યો અને પૂર્વીય સત્તાનો ઉદય થયો. પણ અહીં મોટો ટ્વિસ્ટ એ છે કે યુરોપ દેશોને ચીન પર પૂરો ભરોસો નથી. આજે પણ યુરોપ ચીનને શંકાની નજરે જ જુએ છે. જો ભવિષ્યમાં દુનિયાની ધૂરા ચીન સંભાળે તો યુરોપ તે માનશે કે નહીં તે મોટો સવાલ છે. યુદ્ધ રોકાવાથી નેતન્યાહુને ભારે નુકસાન અહીં સૌથી મોટો પેચ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો છે. આ વર્ષે ઇઝરાયેલમાં ચૂંટણીનો માહોલ છે, તારીખો જાહેર નથી થઈ એ વાત અલગ છે. પણ નેતન્યાહુના શાસનના કારણે ઈઝરાયલી જનતામાં ભારે આક્રોશ છે. 70 ટકા ઈઝરાયલીનું માનવું છે કે ઈરાન તેમના માટે ખતરો છે પણ તે જ 50 ટકા ઈઝરાયલીઓનું કહેવું છે કે તેમને નેતા તરીકે નેતન્યાહુ નથી પસંદ. નેતન્યાહુની લિકુડ પાર્ટીની લોકપ્રિયતામાં 15% નો ઘટાડો નોંધાયો છે. એટલે તેમના માટે આ યુદ્ધ એક એવું કવચ છે જે તેમને સત્તા પર ટકાવી રાખે છે. જો યુદ્ધ રોકાઈ જાય, તો જનતાના સવાલોના તીર ફરી તેમના તરફ વળશે. ઈઝરાયલ ચીનના યુદ્ધ રોકવાના પ્રયાસને પડકારશે?બીજી તરફ, ચીનના પાંચ મુદ્દામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવાની કોઈ વાત નથી. ઇઝરાયેલ માટે પાડોશમાં બેઠેલું પરમાણુ શક્તિ સંપન્ન ઈરાન અને હુથી-હિઝબુલ્લાહ જેવા પ્રોક્સી ગ્રુપ્સ કાયમી માથાનો દુખાવો છે. આવી સ્થિતિમાં, શું નેતન્યાહુ પોતાની રાજકીય કારકિર્દી અને દેશની લાંબાગાળાની સુરક્ષાને દાવ પર લગાવીને ચીનના શાંતિ મંત્રને સ્વીકારશે? આ સવાલ જ ચીનના પ્લાન માટે સૌથી મોટો સ્પીડ બ્રેકર છે. અને છેલ્લે... સૌથી મોટી વાત અહીં એ છે કે શું અમેરિકા આ યુદ્ધ રોકવાના પાંચ મુદ્દાને સ્વીકારશે કે અહમ ઘવાવાના કારણે નહીં સ્વીકારે? આર્થિક અને હથિયારોના નુકસાનના કારણે અત્યારે અમેરિકાને પણ યુદ્ધ રોકવું જ છે પણ પોતાને મોટું દેખાડીને જીત દેખાડવી છે. પણ તો'ય જો અમેરિકા અને ઈઝરાયલ ચીનની વાત ન માનીને હથિયારોના પાવરના જોરે ઈરાન પર મિસાઈલ્સ ધડાકા ચાલુ રાખશે તો અમેરિકા દુનિયા સામે હિરો નહીં પણ વિલન બનીને સામે આવશે. જે થાય તે પણ એક વાત નક્કી છે કે દુનિયા હવે વોશિંગ્ટન બાજુ જ નથી જોતું બેજિંગના નિર્ણયો પર પણ તાકતી બાજ નજર રાખે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર.(રિસર્ચ- સમીર પરમાર)
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટીમ્બા ગામે આવેલી સહયોગ સ્ટોન ક્રશિંગ કંપનીમાં પથ્થરના બ્લાસ્ટિંગ મુદ્દે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરવાથી મકાનોને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી આવેલા સ્થાનિકોએ ક્વોરીના મેનેજર સાથે ગાળાગાળી કરી લોખંડની પાઇપ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સતલાસણા પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતીમૂળ અમરેલી જિલ્લાના અને હાલ સતલાસણામાં રહીને સહયોગ સ્ટોન ક્રશિંગ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ વલ્લભભાઈ જાલોદ્રા ગત 30 માર્ચના રોજ ક્વોરી પર હાજર હતા. તે સમયે ટીમ્બા ગામના પાંચ મહિલાઓ સહિતના લોકોએ ક્વોરી પર આવી બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. મેનેજરે વળતર આપવાની તૈયારી બતાવી ઘરવેરાની પાવતી માંગતા મામલો બિચક્યો હતો અને લોકો ગાળાગાળી કરી પરત ફર્યા હતા. 'અમારી મહિલાઓ સાથે કેમ અસભ્ય વર્તન કર્યું' થોડીવાર બાદ અન્ય ચાર શખ્સો લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે ક્વોરી પર ધસી આવ્યા હતા અને 'અમારી મહિલાઓ સાથે કેમ અસભ્ય વર્તન કર્યું' તેમ કહી મેનેજર પર હુમલો કર્યો હતો. જેમાં રાજપાલસિંહ મનહરસિંહ અને વિરેન્દ્રસિંહ જશવંતસિંહે લોખંડની પાઇપ વડે મેનેજરને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે અન્ય શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હુમલા દરમિયાન ક્વોરીના કર્મચારીઓએ વચ્ચે પડી મેનેજરને વધુ મારથી બચાવ્યા હતા. જતાં-જતાં હુમલાખોરોએ 'જો હવે પૂછ્યા વગર બ્લાસ્ટિંગ કર્યું છે તો તને જીવતો છોડીશું નહીં અને ગાડી સળગાવી દઈશું' એવી ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત મેનેજરને તાત્કાલિક સતલાસણા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ લોકો સામે ફરિયાદ નોંધાઈ
વાપી મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વેરા વસૂલાતમાં આક્રમક અભિગમ અપનાવી નોંધપાત્ર સફળતા મેળવી છે. મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે કુલ ₹44.28 કરોડની વસૂલાત કરી છે, જે નિર્ધારિત ₹50.10 કરોડના લક્ષ્યાંકની નજીક છે. ખાસ કરીને માર્ચ મહિનામાં તંત્રની કડક કાર્યવાહીને કારણે બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો અને અંતિમ દિવસોમાં જ કરોડોની આવક થઈ હતી. વેરો ભરવામાં આનાકાની કરતા રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલકતધારકો સામે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરની આગેવાની હેઠળ ટીમે કુલ 662 મિલકતોને સીલ કરી દીધી હતી. આ પગલાં બાદ આશરે 11,739 નાગરિકોએ દંડ અને વ્યાજથી બચવા સ્વૈચ્છિક રીતે વેરો ભરવાનું પસંદ કર્યું હતું. આંકડા મુજબ, નિર્ધારિત લક્ષ્યાંક ₹50.10 કરોડ સામે કુલ ₹44.28 કરોડની વસૂલાત થઈ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ₹7.42 કરોડનો વધારો નોંધાયો છે. માર્ચ માસમાં જ ₹6.30 કરોડની વસૂલાત થઈ હતી, જેમાં છેલ્લા બે દિવસમાં 2066 કરદાતાઓ પાસેથી ₹1.44 કરોડની આવક થઈ હતી. વહીવટદાર ભવ્ય વર્માએ કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નિયમિત 5% રિબેટ ઉપરાંત, જો કરદાતા ઓનલાઈન માધ્યમથી વેરો ભરે તો વધારાનું 1% મળીને કુલ 6% વળતર આપવામાં આવશે. આ યોજના માર્ચ-2027 સુધી અમલમાં રહેશે. નાયબ કમિશનર આસ્થા સોલંકીએ જણાવ્યું કે શહેરના વિકાસ માટે વેરાની આવક અત્યંત જરૂરી છે. ટેક્સ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયા અને મેહુલ પટેલ સહિતની ટીમોએ ઘરે-ઘરે જઈને જનજાગૃતિ ફેલાવી હતી. પાલિકાએ આ સફળતા માટે શહેરના જાગૃત નાગરિકો અને મીડિયા જગતનો પણ આભાર વ્યક્ત કર્યો છે. નવા નાણાકીય વર્ષને ધ્યાનમાં રાખીને સોફ્ટવેર મેન્ટેનન્સ કામગીરીને કારણે 1 થી 5 એપ્રિલ દરમિયાન વેરા સંબંધિત તમામ સેવાઓ બંધ રહેશે. પાલિકાએ નાગરિકોને તે મુજબ આયોજન કરવા અપીલ કરી છે.
અમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 75 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર માટે બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે ઝાડા-ઉલટી અને પેટમાં દુ:ખાવાની ગંભીર ફરિયાદ સાથે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ફૂડ વિભાગ દ્વારા લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મટન બિરયાની, ડ્રાયફ્રૂટ હલવો, ચિકન, ફિશ અને માવાના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પાણી પૂરૂ પાડનાર વોટર જગ સપ્લાયર અને યજમાનના ઘરેથી પણ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. રાત્રે 10 વાગ્યા આસપાસ ભોજન પીરસવામાં આવ્યું31 માર્ચ 2026ની રાત્રે કાંકરિયા પિકનિક હાઉસમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં અંદાજે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભોજન પીરસવામાં આવ્યું હતું. મહેમાનોને ભોજનમાં મટન બિરયાની, ડ્રાયફ્રૂટ હલવો, ચિકન, ફિશ, દહીં વડા, છાશ અને મોકટેલ પીરસવામાં આવ્યા હતા. તબિયત લથડતા મહેમાનોને હોસ્પિટલ ખસેડાયાભોજન લીધાના માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં જ મહેમાનોની તબિયત લથડવા લાગી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ઘટનાની ગંભીરતાને જોતા AMCના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. 66 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળAMCના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે ગંભીર નોંધ લઈને કેટરિંગ સર્વિસ આપનાર કેટરસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હાલની સ્થિતિએ માત્ર ચેપી રોગ હોસ્પિટલમાં જ 66 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય એલ.જી. હોસ્પિટલ, કાશીબા હોસ્પિટલ અને શિફા હોસ્પિટલ જેવી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ દાખલ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયુંઆરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. રહેવાસીઓને ક્લોરીનની ગોળીઓ, ઓ.આર.એસ. (ORS) ના પેકેટ અને આરોગ્ય વિષયક પત્રિકાઓનું વિતરણ કરીને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) બજરંગદળના નારણપુરા દ્વારા તા. ૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ઠંડા પીણાંના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પ ઉસ્માનપુરા ચાર રસ્તા, જૈન દેરાસરની સામે યોજાયો હતો. આ કેમ્પ કેમ્પ હનુમાજી મંદિરથી નીકળતી યાત્રાના શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાં પૂરા પાડવાના હેતુથી ગોઠવવામાં આવ્યો હતો. નારણપુરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આ સેવામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં બજરંગદળ ભાગવત વિભાગના પાર્થ દવે અને સહસંયોજક પાર્થ બારોટ, બજરંગદળ નારણપુરા જિલ્લા સંયોજક પીયૂષ પરમાર અને સહસંયોજક જીમિત રબારી, તેમજ પરાગભાઈ શાહ અને ચિંતનભાઈ સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. માતૃશક્તિના જિલ્લા સંયોજિકા હેતલબેન અને વિભાગના રંજનબેન સહિત માતૃશક્તિના સભ્યોએ પણ આ સેવા કાર્યમાં સક્રિય યોગદાન આપ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા પાસે ખુલ્લા મેદાનમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેચાણ પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરોડામાં કુલ રૂ. 61.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે રૂ. 25.45 લાખની કિંમતનો 9864 બોટલ/ટીન IMFL દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રૂ. 76,000ની કિંમતના 7 મોબાઈલ ફોન, રૂ. 35 લાખની કિંમતના 3 વાહનો અને રૂ. 1100 રોકડા સહિત કુલ રૂ. 61,24,064નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ જીવનસિંહ સોલંકી, મિનેશ ગાંડાભાઈ સોલંકી, પંકજ રાજેશસિંહ રાજપૂત અને પ્રકાશ જકાહીભાઈ પરમાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, આ કેસમાં મુખ્ય આરોપી ગણપત ઉર્ફે કિશન રેવા પરમાર સહિત 9 આરોપીઓ હજુ પણ ફરાર છે. આ સમગ્ર ઓપરેશન SMCના PI આર. જી. ખાંટના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાત દારૂબંધી અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કરવામાં આવી છે. હાલ પાટડી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓમાં ફારૂક ઈશાક મેમણ (IMFLના રીસીવર), પંબુભા વાઘેલા, ટીનાજી ઠાકુર તેમજ ટ્રક, સ્કોર્પિયો અને હ્યુન્ડાઈ ગ્રાન્ડ 10 કારના માલિક/ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
સાબરકાંઠા SP પાર્થરાજસિંહ ગોહિલે જન્મદિવસ ઉજવ્યો:હિંમતનગરમાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ઉજવણી કરી
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે આજે હિંમતનગરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેમણે સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલે પોલીસ અધિક્ષકને બુકે, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. સંસ્થાના દિવ્યાંગ બાળકોએ પણ ઉત્સાહભેર પોલીસ અધિક્ષકને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 1 થી 4 એપ્રિલ, 2026 દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC), સબ સેન્ટરો અને સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને, ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે. અનાજના પરિવહન દરમિયાન પણ સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતો અને વેપારીઓને પણ અપીલ કરી છે કે, તેઓ હવામાનની આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખે અને તેમના અનાજને વરસાદથી સુરક્ષિત રાખે. આ માહિતી મામલતદાર, ડિઝાસ્ટર શાખા, બનાસકાંઠા દ્વારા આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં આવતીકાલે 2 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં નીકળનારી ભવ્ય શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફતેપુરા મેઈન રોડ વિસ્તારથી નીકળનારી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિવિધ માર્ગો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે. નો-પાર્કિંગ ઝોન સાંજે 4 વાગ્યાથી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર રોડની બંને સાઈડ તમામ પ્રકારના વાહનો માટે 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. ફતેપુરા ચાર રસ્તાથી અડાણીયાપુલ, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, પદમાવતી ટ્રીકોણ, લાલકોર્ટ બિલ્ડીંગ, ગાંધી નગરગૃહ સર્કલ, જ્યુબિલીબાગ સર્કલ, ભક્તિ સર્કલથી રોકડાનાથ હનુમાન મંદિર સુધી -પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. અડાણીયાપુલ ચાર રસ્તા ખાતેથી શોભાયાત્રા પસાર થઈ ગયા બાદ જ વાહનોને પ્રવેશ આપવામાં આવશે. શોભાયાત્રા ચાંપાનેર રોડ તરફ પસાર થયા બાદ પરિસ્થિતિ મુજબ ટ્રાફિક ધીમે-ધીમે ખુલ્લો કરવામાં આવશે. આ જાહેરનામું પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓ તેમજ હોસ્પિટલ જતા વાહનોને લાગુ પડશે નહીં. વડોદરા શહેર પોલીસે નાગરિકોને અગવડતા ટાળવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા વિનંતી કરી છે.
ગાંધીનગરના પોર ગામે વર્ષ 2023માં કચરો નાખવા જેવી સામાન્ય બાબતે થયેલા મારામારીના ઝઘડા પછી એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. આ ગુનામાં ગાંધીનગરના મુખ્ય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ આશિષ જે.એસ. મલ્હોત્રાની કોર્ટે મુખ્ય આરોપી દશરથજી કાંતીજી ઠાકોરને 10 વર્ષની સખત કેદ અને 31 હજારના દંડની સજા ફટકારી છે. જ્યારે અન્ય એક આરોપીને પણ 6 મહિનાની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. વૃદ્ધાને ધક્કો મારતા કમરના ભાગે ગંભીર ઈજાઓગાંધીનગરના પોર ગામમાં વર્ષ 2023માં આરોપી દશરથજી ઠાકોર અને મુકેશજી કાંતિજી ઠાકોરે ભેગા મળીને ફરિયાદીની માતા કપિલાબેન સાથે કચરો નાખવા જેવી તુચ્છ બાબતે ઝઘડો કર્યો હતો. આ વિવાદ દરમિયાન આરોપી મુકેશજીએ કપિલાબેનને જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધા હતા. જેના કારણે તેમને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. વૃદ્ધાનું હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોતઆ ઝઘડાના તણાવમાં કપિલાબેનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદીના પિતા રમણજી અને ભાઈ વિક્રમજી પર પણ હુમલો કરી મુઢ માર માર્યો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને સખતમાં સખત સજાની વકીલ દ્વારા માંગ કરાઈજે કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે, સમાજમાં આવા બનાવો રોજબરોજ બનતા હોય છે. જો આવા ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં ન આવે તો કાયદાનો ડર રહેતો નથી. સમાજમાં એક મજબૂત દાખલો બેસે અને નવા ગુના કરતા લોકો અટકે તે હેતુથી આરોપીઓને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ કરવો જોઈએ. કોર્ટે મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ સજા ફટકારીઆમ બંને પક્ષોની દલીલો અને સાક્ષીઓની જુબાની સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે. જે પૈકી મુખ્ય આરોપી દશરથજી કાંતીજી ઠાકોરને 10 વર્ષની સખત કેદ અને 31,000 રૂપિયાનો દંડ તેમજ બીજા આરોપી મુકેશજી કાંતીજી ઠાકોરને છ મહિનાની કેદ અને કુલ 11,000 રૂપિયા દંડ ભોગવવા હુકમ કર્યો છે.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ બે પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા યુવકના ઘરે જમવા માટે આવતા મિત્રએ યુવકની પત્ની પર દાનત બગાડી હતી. પરણિતાના એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજા બનાવમાં પુણાગામ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના બીભસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઈ તેને મળવા માટે તેની માસીના ઘરે બોલાવી હતી. જયાં યુવતીને પટ્ટાથી માર મારી શારીરિક સંબંધબાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારનો પહેલો બનાવમળતી માહિતી પ્રમાણે, મૂળ પશ્ચિમ બંગાળની વતની અને સુરતના લાલ ગેટ વિસ્તારમાં રહેતી પરણીતાએ ગતરોજ તેના પતિના મિત્ર નાઝીમ નુર આલમ શેખ (રહે ત્રીજો માળ ગુજરાતી સ્કૂલની સામે નાગોરી વાડ રસ્તા સૈયદપુરા) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ સુરતમાં એકલા રહીને મજૂરી કામ કરતા હતા ત્યારે નાઝીર નૂર આલમ શેખ સાથે તેમની મિત્રતા થઈ હતી. જોકે ત્યારબાદ તેઓ એક જ રૂમમાં સાથે રહેતા હતા. દર મહિને પૈસા ચૂકવી દેશે એવું કહીને જમવા માટે આવતો હતોઆ દરમિયાન પરણીતાનો પતિ તેના લઈને સુરત રહેવા આવી ગયો હતો અને અલગથી રૂમ રાખી રહેવા લાગ્યો હતો. જોકે બાદમાં નાઝીમ નૂર આલમે પોતાના બહારનું જમવાનું ફાવતું ન હોવાથી તેમના ઘરે જમવા આવશે અને દર મહિને પૈસા ચૂકવી દેશે એવું કહીને જમવા માટે આવતો હતો. આ દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬ માં પરણીતા ઘરે એકલી હતી ત્યારે જમવા આવેલા નાઝીમે તેની એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અવારનવાર ધાકધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. જેથી ભોગ બનનાર પરણીતાએ પતિને સઘળી હકીકત જણાવ્યા બાદ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કારનો બીજો બનાવસુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના બીભસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઈ તેને મળવા માટે તેની માસીના ઘરે બોલાવી હતી. જયાં યુવતીને પટ્ટાથી માર મારી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે તેમણે યુવતીની જાણ બહાર મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ આ વીડિયોના આધારે બ્લેકમેલ કરી વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ વાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે, ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ પણ યુવતીના ઘરે તેના ટેરેસ પર આવી શારીરિક અડપલા કરી એલફેલ ગાળો આપી જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું દવા પી જઈશ તેવી ધમકી આપી માર મારી જતો રહ્યો હતો. જેથી યુવતીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને અવારનવાર વાતચીત કરતો હતોઆ બનાવની વિગત એવી છે કે, વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતો લાલજી જગાભાઈ જીંજાળા લેસપટ્ટીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લાલજી પુના વિસ્તારની અન્ય સોસાયટીમાં રહેતો હતો ત્યારે તેમના ઘરની સામે રહેતી એક 23 વર્ષીય યુવતી સાથે તેણે મિત્રતા કરી હતી. ત્યારબાદ લાલજીએ યુવતીને હું તને પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને અવારનવાર તેની સાથે ફોનમાં વાતચીત કરતો હતો. ત્યારબાદ યુવતી ઘરે એકલી હોય ત્યારે તેના ઘરે જઈ શારીરિક અડપલાં કરી તેના બીબસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યુંઆ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તથા દવા પીવાની ધમકી આપી તેને મળવા માટે લાલજીએ પોતાના માસીના ઘરે બોલાવી હતી. જ્યાં એકલતાનો લાભ લઇ લાલજીએ તેને પટ્ટાથી માર મારતા યુવતી ગભરાઈ ગઈ હતી. આ સમયે લાલજીએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીની જાણ બહાર મોબાઈલમાં વિડીયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાલજીએ બે થી ત્રણ વાર તેનું શારીરિક શોષણ કરી ગત તારીખ 27-03-2026ના રોજ બપોરે 12.30 વાગ્યાના અરસામાં લાલજી યુવતીના ઘરે ટેરેસ પર મળવા માટે આવ્યો હતો. તેણે શારીરિક અડપલા કરી એલ ફેલ ગંદી ગાળો આપી હતી અને જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું દવા પી લઈશ તેવી ધમકી આપી માર માર્યો જતો રહ્યો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાલજી જગાભાઈ જીંજાળા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના સોની બજારમાં થયેલી ચોરીનું મુંબઇ કનેક્શન સામે આવ્યું છે. ગધીવાડની અમિત જવેલર્સમાં થયેલી ચોરીનું આખેઆખું કાવતરું મુંબઈની આર્થર રોડ જેલમાં ઘડાયું હતું. જે બાદ મુંબઈનો માહિર ચોર અને અન્ય પાંચ તસ્કરોની ટોળકી રાજકોટમાં ત્રાટકી હતી. જે મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ છ શખ્સોની ટોળકીને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવારે 6 વાગ્યે દુકાનના તાળા તૂટ્યાનો ફોન આવ્યો હતોલીમડા ચોક નજીક ડિજીબી પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા સોની વેપારી મનિશભાઈ રમણભાઈ રાણપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સોની બજાર નવા નાકા રોડ પર મારુતી પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે ગધીવાડ શેરીમાં અમિત જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરૂ છું. ગત તા.30.03.2026ના રોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ હું તથા મારો દિકરો જય અમારી દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બાદમાં આજે સવારે 6 વાગ્યા આસપાસ અમારી દુકાનની નજીક નિહારનો સામાન વેચતા રમેશભાઈ દ્વારા અમને જાણવા મળ્યું કે, અમારી દુકાનના તાળા તુટેલા છે જેથી હું તથા મારો દિકરો જય તાત્કાલિક અમારી દુકાન અમિત જવેલર્સ ખાતે પહોંચ્યા હતા. 50 હજારના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા અમારી દુકાનના બહારના લાકડાના દરવાજા પર મારેલ ચાર લોક તથા એક મોટું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને દુકાનનો દરવાજો ખુલ્લો હતો. દુકાનનો અંદરનો કાચનો સ્લાઈડર દરવાજો પણ ખુલ્લો હતો. બાદ દુકાનની અંદર જઈ જોતા દુકાનના બે સીસીટીવી કેમેરા પણ તુટેલી હાલતમાં હતા. બાદ દુકાનની અંદર રહેલ આશરે રૂ.50 હજારની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા જેથી ફરિયાદ નોંધાવી હતી. 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યોચોરીના બનાવનો તાત્કાલિક ભેદ ઉકેલી તસ્કરોને ઝડપી લેવાની પોલીસ કમિશનરની સૂચનાને પગલે એ ડિવિઝન પોલીસ અને એલસીબી ઝોન-2ની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે સંયુક્ત બાતમીના આધારે પેલેસ રોડ નજીક પદ્મકુંવરબા હોસ્પિટલ સામેથી શંકાસ્પદ સફેદ કલરની i20 કાર સાથે 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે સોની બજારની અમિત જવેલર્સમાં વહેલી સવારે ચોરી કર્યાની કેફીયત આપતાં શુભમ સુભાષભાઈ સોની, ભાવિક કિરણભાઈ સીતાપરા, જયદીપ નરેશભાઈ કાકડિયા, મિલન દિલીપભાઈ ગોંડલીયા, ધવલ દિલીપભાઈ સુરેલા અને રાકેશ કાળુભાઇ બોરસાણીયાની ધરપકડ કરી રૂ.50 હજારની કિંમતના રોકડ ગણવાના બે મશીન, જીજે.03.એમઆર.0410 કાર મળી કુલ રૂ.5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેલમાં મુલાકાત થઈ ને ચોરીનું કાવતરું ઘડાયું હતુંઝડપાયેલા શખ્સોએ પોલિસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, મુંબઈનો તસ્કર શુભમ ચોરીના ગુનામાં આર્થર રોડ જેલમાં બંધ હતો. ત્યારે જ મિલન ગોંડલીયાનો ભાઈ સાવન પણ ફ્રોડના ગુનામાં અહીં જેલમાં હતો. જેલમાં શુભમ અને સાવનની મુલાકાત થઇ હતી. બાદમાં સાવને મિલનની મુલાકાત શુભમ સાથે કરાવી હતી અને ચોરીનું કાવતરું ઘડાયું હતું. શુભમ ચોરી કરવામાં માહિર હોય મિલને તેને અહીં ચોરી કરવા બોલાવ્યો હતો. ચોરીને અંજામ આપ્યાની એકાદ કલાક પૂર્વે તસ્કરો સોની બજારમાં આવી રેકી કરી વધુમાં તસ્કરોએ જણાવ્યું હતું કે, ચોરી જુનવાણી દુકાનમાં જ કરવાનું નક્કી થયું હતું. જેથી લાકડાના દરવાજાનો નકુચો સરળતાથી તોડી શકાય અને ચોરીને ગણતરીની મિનિટોમાં અંજામ આપી તસ્કરો ફરાર થઇ શકે. ચોરીને અંજામ આપ્યાની એકાદ કલાક પૂર્વે તસ્કરો સોની બજારમાં આવી રેકી કરી અમિત જવેલર્સને ટાર્ગેટ કરવાનું નક્કી કરી ગયા હતા અને બાદમાં તેઓ વહેલી સવારે ચોરી કરવા ત્રાટક્યાં હતા. ચોરીને અંજામ આપી તસ્કરો ઘરે જઈને સુઈ ગયા'તા પોલિસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોની બજારની અમિત જવેલર્સમાં ત્રાટકી તસ્કરો પોતપોતાના ઘરે જઈ આરામથી સુઈ ગયા હતા. આ દરમિયાન ચોરીના સમયગાળા દરમિયાન સોની બજારમાં એક સફેદ કલરની આઈ-20 કારની ગતિવિધિ અંગે પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આગળના કાચ પર 'શ્રી' લખ્યું હોય એવી કારની શોધખોળ શરૂ કરી હતી. આ કાર પદ્મકુંવરબા હોસ્પિટલ નજીક હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઈ તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. તિજોરી ન તૂટતાં 10 લાખના ઘરેણાં બચી ગયા સોની બજારની પેઢીમાં ચોરી કરવાથી મોટી મતા હાથમાં આવશે તેવી અપેક્ષાએ તસ્કરો અમિત જવેલર્સમાં ત્રાટક્યાં હતા. જયા તેઓ અલગ-અલગ પાંચ લોક તોડવામાં સફળ રહ્યા હતા પરંતુ, દુકાનમાં રહેલી તિજોરી તોડવામાં તસ્કરો અસફળ રહ્યા હતા જેના કારણે તિજોરીમાં સોની વેપારીએ રાખેલા આશરે રૂ.10 લાખના ઘરેણાં બચી ગયા હતા.
ગાંધીનગર ચિલોડા પોલીસની ટીમે હિંમતનગર-અમદાવાદ હાઈવે આગમન હોટલની સામેના નાકા પોઇન્ટ પર વાહન ચેકીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર હથિયારના સોદાગરને ઝડપી પાડ્યો છે. આ અંગે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના શખ્સ પાસેથી લોડેડ પિસ્ટલ અને 9 જીવતા કારતુસ સહિત અંદાજે 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઈ-વે રોડ પર બેરીકેડ્સ મૂકી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંગાંધીનગર ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે. ચૌહાણની ટીમ દ્વારા ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ સામે હિંમતનગર તરફથી આવતા હાઈ-વે રોડ પર બેરીકેડ્સ મૂકી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી બાબુ ટ્રાવેલ્સની બસને બાતમી આધારે અટકાવવામાં આવી હતી. બાદમાં બસના કંડક્ટરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બસ દિલ્હીથી અમદાવાદના રૂટ પર મુસાફરો લઈને જઈ રહી છે. હાથ બનાવટની પિસ્તોલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતોબાદમાં પોલીસ ટીમે બસની અંદર તપાસ કરતા સ્લીપિંગ કોચની સીટ નંબર R પર બેઠેલા પેસેન્જર પાસેથી કાળા કલરનો થેલો મળો આવ્યો હતો. જે થેલાની તલાશી લેતા કપડાંની વચ્ચે સંતાડેલું એક પૂંઠાનું બોક્સમાંથી એક હાથ બનાવટની પિસ્તોલ કી રૂ.25000 અને રૂ.900 ની કિંમતના નવ જીવતા કારતુસ ઉપરાંત બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જેના પગલે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત હોવાનું જણાવ્યું હતું. તે મૂળ બિહારના સિવન જિલ્લાના ગુટની ગામનો વતની છે અને હાલ નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. હથિયાર રાખવા બાબતે આરોપી પાસે કોઈ કાયદેસરનું લાયસન્સ ન હોવાથી પોલીસે ગુનો નોધી આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો હેતુ શું હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઈસનપુર વિસ્તારની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસ અને બદનામીથી કંટાળી છેવટે કાયદાનો આશરો લેતા મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલાના પક્ષમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2007માં લગ્નગ્રંથિથી જોડાયેલી આ મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ શારીરિક-માનસિક દુઃખ આપી, રૂમમાં પૂરી દઈ અને પિયરિયાઓ સાથે સંબંધ તોડવા દબાણ કરી નર્ક જેવી સ્થિતિમાં મુકી દીધી હતી. કરોડોની મિલકત અને બ્યુટી ટ્રીટમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં બાળકોની ફી અને ઘરના ભાડાના પૈસા ન આપતા પતિને કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે આદેશ કર્યો છે કે, પતિએ પત્નીને દર મહિને રૂ. 12 હજારનું ભરણપોષણ, રૂ. 50 હજારનું વળતર ચૂકવવું પડશે અને મહિલાને તેના સસરાના ઘરે બાળકો સાથે રહેવાનો હક આપવો પડશે, એટલું જ નહીં સાસરિયાઓને તે ઘરમાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે અરજી દાખલ કરી હતીકેસની વિગતો જોતા, અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઇસનપુરની રહેવાસી મહિલાએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત પોતાના પતિ સહિતના સાસરિયાઓ સામે અરજી દાખલ કરી હતી. જે મુજબ તેના લગ્ન વર્ષ 2007માં હિન્દુ વિધિ વિધાન મુજબ રાજસ્થાનમાં થયા હતા. તેને સ્ત્રી ધન પણ મળ્યું હતું, લગ્ન બાદ તેને એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા. પતિને કમળો થયો તો તેનો વાંક મહિલાના પિયરિયા ઉપર નાખી દીધોમહિલાની કાકાની દીકરીના લગ્નમાં તેના સાસરિયા અને પિયરિયા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં માફી માંગ્યા છત્તા સાસરિયા માન્યા નહોતા. ત્યારબાદ મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેમજ મહિલાને પિયરીયાઓ સાથે સબંધ રાખવાની ના પાડી દીધી હતી. પતિ મહિલા સાથે ઝઘડો કરીને તેને માર મારતો હતો. વળી જ્યારે પતિને કમળો થયો તો તેનો વાંક મહિલાના પિયરિયા ઉપર નાખી દીધો હતો. પત્નીને રૂમમાં પુરી દઈ પોલીસને ફોન કરી આપધાત કરવા જાતે પુરાઈ હોવાનું કહ્યુંઆખરે બંને કુટુંબોને લઈને જ્ઞાતિ બેસી હતી. ત્યારે મહિલાને હેરાન નહીં કરવા, સાસરિયાઓએ બાહેંધરી આપી હતી. જો કે ઘરમાં દેરાણી આવતા તેની ચઢામણીથી પણ સાસરિયાઓ તેને ત્રાસ આપતા અને મહિલાને જાદુગર કહેતા હતા. મહિલાના પતિએ તેને માર મારીને એક રૂમમાં પૂરી દીધી હતી. સાથે 100 નંબર પર તેણે ફોન કરતા પતિએ કહ્યું હતું કે મહિલા આપઘાત કરવા રૂમમાં પુરાઈ ગઈ છે. પતિએ છૂટાછેડાની માગ કરી, ત્રણ વર્ષ આવી પરિસ્થિતિ ચાલીમહિલાએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી અને હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જો કે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તેઓ સંયુક્ત કુટુંબમાંથી અલગ રહેવા ગયા હતા. તેમ છતાં પતિના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો, પરંતુ તે વધુ ક્રૂર બનીને પત્નીને માર મારવા લાગ્યો હતો. જેથી મકાનમાલિકે મકાન ખાલી કરવા જણાવ્યું હતું. પતિએ છૂટાછેડાની માગ કરી હતી, ત્રણ વર્ષ આવી પરિસ્થિતિ ચાલી હતી. મહિલા ઉપર સાસરિયાઓએ જાદુટોણા કરવાનો આક્ષેપ મૂક્યોમહિલાના સાસુનું કેન્સરથી નિધન થતા મહિલા ઉપર સાસરિયાઓએ જાદુટોણા કરવાનો આક્ષેપ મૂક્યો હતો. સમાજ વચ્ચે હડધૂત કરી નાખી હતી. પતિને ઘરનું ભાડું, બાળકોની ફી અંગે પૈસાની માગ કરતા પતિએ પત્નીને પિયરમાંથી પૈસા લઈ લેવા કહ્યું હતું. આમ પતિ તેની લગ્નની ફરજો નિભાવવામાં નિષ્ફળ નીવડ્યાનો પત્નીએ આક્ષેપ મૂક્યો હતો. પોલીસે પતિને સમજાવ્યો છત્તા, સમાધાન થયું નહોતુંપત્ની પિયરમાં ઓશિયાળુ જીવન જીવતી હતી. જ્યારે પતિ બ્યુટી ટ્રીટમેન્ટના વ્યવસાય કરીને સંયુક્ત કુટુંબમાં લાખો રૂપિયા કમાય છે. તે અમદાવાદમાં એક કરતા વધુ દુકાનો અને ઘર પણ ધરાવે છે. જેની કુલ કિંમત કરોડો રૂપિયામાં થવા જાય છે. તેણે બાળકોને તરછોડી દીધા છે અને પત્ની પાસે આવકનું કોઈ સાધન નથી. જેથી મહિલાએ જુલાઈ, 2022માં શાહીબાગ પોલીસ મથકે અરજી આપી હતી. પોલીસે પતિને સમજાવ્યો છત્તા, સમાધાન થયું નહોતું. પતિ રાજકીય વગ ધરાવતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવીપતિએ રાજસ્થાનના લોકલ મીડિયામાં પત્નીની બદનામી કરી હતી. બાળકોની શાળાની ફી ભરી નહીં હોવાથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને માર્કશીટ આપવા ઇનકાર કર્યો હતો. વળી પતિ રાજકીય વગ ધરાવતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. કોર્ટ પત્નીને પોષણ આપે અને પત્ની પતિ સાથે રહેવા જવા પણ તૈયાર છે. મહિલાએ પતિ સામે માનસિક યાતનાના વળતર પેટે 50 લાખની માગ કરી પત્નીએ પતિ પાસેથી ઘરના ભાડા પેટે 10 હજાર, ભરણપોષણના 70 હજાર, સ્ત્રીધન પરત આપવા અને શારીરિક તેમજ માનસિક યાતનાના વળતર પેટે 50 લાખ રૂપિયાની માગ કરી હતી. કોર્ટે સાહેદ અને પુરાવા ચકાસ્યા હતા. તેમજ અરજદાર મહિલાના સાસરિયાઓ સામેના આક્ષેપને સમર્થન આપ્યું હતું. કોર્ટનો 12 હજારનું ભરણપોષણ, રૂ. 50 હજારનું વળતર ચૂકવવા આદેશકોર્ટે આદેશ કર્યો હતો કે, મહિલાની સસરાની માલિકીના એક ઘરમાં મહિલા તેના બે બાળકો સાથે રહેશે. મહિલાનું સ્ત્રીધન પરત આપવામાં આવશે. પતિની આવક કોર્ટે મહિને 45 હજાર ઠરાવી હતી. તેને મહિલાને કોર્ટમાં અરજી દાખલ થયેથી મહિને 12 હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો. તેની શારીરિક અને માનસિક યાત્રા પેટે 50,000 રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો. સાસરિયામાં મહિલા રહે છે તે ઘરમાં પ્રવેશ કરશે નહીં.
ગુજરાત રાજ્યમાં સુરત બાદ હવે રાજકોટમાં ફક્ત મહિલાઓ માટેની પિંક બસ આજે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. શહેરમાં સિટી બસ (RMTS) અને BRTS ની 238 બસમાં સવારે 6 થી રાત્રે દૈનિક 54000 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં 20000 જેટલા મહિલાઓ છે. હાલ 4 રૂટ પર પાઇલોટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ થયેલી આ સુવિધા સમગ્ર શહેરમાં તમામ રૂટ પર શરૂ કરવાની તૈયારી છે. પ્રથમ દિવસે પિન્ક બસમાં મુસાફરી કરતી યુવતીઓએ પણ મહાનગરપાલિકાની આ સુવિધાને આવકારી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા (RMTS) તથા બી.આર.ટી.એસ. બસ સેવા કાર્યરત રાખવામાં આવી છે. આ બંને સેવાઓનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વધતી મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલ કુલ 82 રૂટ પર 100 CNG બસ તથા 134 ઇલેક્ટ્રિક બસ એમ કુલ 234 બસ દ્વારા દૈનિક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાઓ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના RRL સિટી બસના જનરલ મેનેજર પરેશ અઢીયાએ જણાવ્યુ હતુ કે, મનપા દ્વારા નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વધારવાના હેતુસર તેમજ ખાસ કરીને મહિલા મુસાફરોને વધુ સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી ઉપલબ્ધ થાય તે માટે નાણાંકીય વર્ષ 2026-27 ના બજેટ સ્પીચ અંતર્ગત મહિલા સુરક્ષિત સફર યોજના (MSSY) જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓ માટે વિશેષ પિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર મહિલા મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓને જાહેર પરિવહનમાં સુરક્ષિત વાતાવરણ મળે અને તેઓ નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે તે હેતુસર આ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.આજે 1 એપ્રિલના સવારે ત્રિકોણબાગ ખાતેથી ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, નરેન્દ્રસિંહ જાડેજા અને મનીષ રાડીયા દ્વારા ઝંડી આપી પિંક બસ પાઇલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર પરેશ અઢીયા, રાજકોટ રાજપથ લિ.ના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવતી આયુષીએ જણાવ્યું હતું કે, ફક્ત મહિલાઓ માટે પિંક બસ શરૂ કરવામાં આવી તે આવકારદાયક છે. હું ત્રંબા કોલેજમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી આ બસમાં બેઠી હતી. ધ્વનિતાએ જણાવ્યુ હતુ કે, આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરું છું. પિંક બસની સેવા શરૂ કરવામાં આવી છે તે ખૂબ જ સારી છે. જેમાં મહિલાઓ માટેની આ સ્પેશ્યલ બસની સુવિધા ખૂબ જ સારી છે. પિંક બસ મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારી છે. આ યોજના હેઠળ પ્રારંભિક તબક્કામાં શહેરના મહત્વપૂર્ણ અને વધુ મુસાફરો ધરાવતા 3 સિટી બસ (RMTS) રૂટ તથા 1 BRTS રૂટ પર એમ કુલ 4 પિંક બસ કાર્યરત કરવામાં આવી છે. આ બસો મહિલાઓ માટે વિશેષ નિર્ધારિત રહેશે તથા બસમાં કન્ડક્ટર તરીકે પણ મહિલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. જેથી મુસાફરી દરમિયાન મહિલાઓને વધુ સુરક્ષા અને સહજતા અનુભવાય. પિંક બસ માટે નિર્ધારિત રૂટની વિગતો.. - રૂટ નં.13 – લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ થી કોઠારીયા ચોક – 1 CNG બસ- રૂટ નં.17 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ત્રંબા ગામ – 1 CNG બસ- રૂટ નં.8 – ગ્રીનલેન્ડ ચોકથી લાભુભાઈ ત્રિવેદી એન્જિ. કોલેજ (કણકોટ) – 1 ઇલેક્ટ્રિક બસ- BRTS રૂટ – માધાપર ચોકથી ગોંડલ ચોક – 1 ઇલેક્ટ્રિક બસ આ રૂટની પસંદગી દરમિયાન મહિલાઓની વધુ અવરજવર, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક વિસ્તારો તથા મુખ્ય ટ્રાન્સપોર્ટ કોરિડોરને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પાઇલોટ પ્રોજેક્ટના અનુભવના આધારે ભવિષ્યમાં વધુ રૂટ પર પિંક બસ સેવા વિસ્તૃત કરવામાં આવશે. મહિલા મુસાફરો માટે ખાસ પાસ સુવિધા મહિલા સુરક્ષિત સફર યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા મુસાફરો વુમન કેટેગરી પાસ મેળવીને આ સેવાનો લાભ લઈ શકશે. આ પાસ વાર્ષિક માત્ર રૂ.1000 ના નજીવા દરે આપવામાં આવશે. જ્યારે રૂ.50 પ્રોસેસિંગ ચાર્જ અલગથી વસૂલવામાં આવશે.પાસ મેળવવા માટે મહિલા મુસાફરો રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિટી સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ ખાતે અથવા ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ નિયમોનુસાર કાર્યવાહી પૂર્ણ કરીને પાસ ઇસ્યુ કરવામાં આવશે. પાસ મળ્યા બાદ મહિલા મુસાફરો નિર્ધારિત પિંક બસ રૂટમાં સરળતાથી મુસાફરી કરી શકશે. - યોજનાનો અમલમહિલા સુરક્ષિત સફર યોજના નાણાંકીય વર્ષથી તા.1 એપ્રિલ-2026થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક તમામ મહિલા મુસાફરોએ અગાઉથી પાસ માટે અરજી કરવાની રહેશે. જેથી યોજનાનો લાભ સમયસર મેળવી શકાય. - ખાસ સુવિધાઓ અને નિયમો1.પિંક બસમાં ફક્ત મહિલા મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા2.બસમાં મહિલા કન્ડક્ટર દ્વારા સેવા3.સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ4.માતા સાથે 12 વર્ષની ઉંમર સુધીના બાળકોને નિઃશુલ્ક મુસાફરી5. મહિલાઓ નિયમોનુસાર ટિકિટ દર ચુકવી અથવા વુમન પાસ દ્વારા મુસાફરી કરી શકશે6. નિર્ધારિત રૂટ પર નિયમિત સમયપત્રક મુજબ સેવા7. ભવિષ્યમાં પાઇલોટ પ્રોજેક્ટના પ્રતિસાદ આધારે વિસ્તરણ
વડોદરા તાલુકાના સેવાસી વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા ગેસ લિમિટેડની આઇસર ગાડીએ બાઈક પર સવાર દંપતીને અડફેટે લીધાં હતાં. જેમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પતિ પર આઈસરનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યુંમળતી માહિતી મુજબ, આ અકસ્માત સેવાસી બસ સ્ટેન્ડ પાસે બન્યો હતો. આઇસર ગાડીનો ચાલક બાઈક સવાર દંપતીને અડફેટે લીધા બાદ વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપતીનું બાઈક અને પતિ આઈસરના ટાયર નીચે જોવા મળ્યા હતા. જેમાં પતિનું ઘટના સ્થળે જ ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું. પત્નીને ગંભીર ઈજાઓના પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈઆ અકસ્માતમાં પત્નીને ગંભીર ઇજાઓ થતાં સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં પત્નીને આંખો સામે જ પતિએ દમ તોડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, આરોપીની તપાસ હાથ ધરીઆ ગમખ્વાર અકસ્માત બનતાં આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાલુકા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને આઇસર ગાડીને કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓ પહેલા ભાજપે કમર કસી છે. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપમાંથી આવેલા 6 નિરીક્ષકોની અધ્યક્ષતામાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પંચમહાલમાં 178 તાલુકા પંચાયત, 38 જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકાની બેઠકો માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ભાજપે જમીની સ્તરે તૈયારીઓ આરંભી દીધી છે. ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની પરંપરાગત પ્રણાલી મુજબ, ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો નિરીક્ષકો સમક્ષ પોતાનું દાવેદારી ફોર્મ રજૂ કરશે. નિરીક્ષકોની ટીમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, પ્રદેશ મંત્રી કૈલાશબેન ગામીત, પ્રદેશ કારોબારી સભ્ય રામજીભાઈ માવણીનો સમાવેશ થાય છે. બીજી ટીમમાં વિજયભાઈ પટેલ (નાયબ મુખ્ય દંડક), જનકભાઈ બગદાણા અને સીતાબેન નાયક ઉપસ્થિત છે. આ બે દિવસીય સેન્સ પ્રક્રિયા બે અલગ અલગ ઝોન મુજબ ચાલશે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાલિકાના કમ્પોઝ યાર્ડમાં લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી સતત સળગતા કચરાના ઢગલાઓમાંથી નીકળતા ઝેરી ધુમાડાએ આસપાસના ખેડૂત પરિવારોને ઘેરી લીધા છે, જેના કારણે સ્થાનિકોમાં આરોગ્ય અંગે ચિંતા વ્યાપી છે. આ આગના કારણે ફેલાયેલા ઝેરી ધુમાડાનો સૌથી વધુ પ્રભાવ નજીકના વિસ્તારોમાં વસતા 50થી વધુ ખેડૂત પરિવારો પર પડી રહ્યો છે. બાળકો, મહિલાઓ અને વડીલોમાં શ્વાસ લેવામાં તકલીફ જેવી આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. ખેડૂતોના મતે, કમ્પોઝ યાર્ડની આ આગ માત્ર આરોગ્ય માટે જ નહીં, પરંતુ તેમની આજીવિકાને પણ જોખમમાં મૂકી રહી છે. ધુમાડા અને ગરમીના કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થયું છે, અને અનેક નાળિયેરીના વૃક્ષો બળી જતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે કમ્પોઝ યાર્ડમાં મૃત પશુઓ પણ જોવા મળ્યા છે. આના કારણે ઝેરી વાયુ પ્રદૂષણનું સ્તર વધુ ખતરનાક બની શકે છે અને ચેપી રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોએ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓનું કહેવું છે કે કમ્પોઝ યાર્ડમાં કચરાનું યોગ્ય સંચાલન થતું નથી અને વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી. આગ લાગ્યા પછી પણ તેને તાત્કાલિક કાબૂમાં લેવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને ઉડાવ જવાબો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ જિલ્લા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આગને કાબૂમાં લેવા, પ્રદૂષણને રોકવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. જો તંત્ર સમયસર જાગૃત નહીં થાય, તો આ આગ અને પ્રદૂષણનું સંકટ વધુ વિકરાળ બની શકે છે, જેના ગંભીર પરિણામો સમગ્ર વિસ્તારમાં જોવા મળી શકે છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12 ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલશે 'સેન્સ'નો દોરસુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ઝીણવટભરી રહેવાની છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ સેન્સ પ્રક્રિયા સતત ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના તમામ 30 વોર્ડના દાવેદારોને નિરીક્ષકો દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે. આજે પ્રથમ દિવસે 12 વોર્ડ બાદ હવે આગામી બે દિવસમાં બાકીના વોર્ડનો વારો આવશે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે શક્તિ પ્રદર્શનશહેર ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે કમર કસી લેવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાર અલગ-અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 12 નિરીક્ષકોની પેનલ સુરત આવી પહોંચી છે, જેઓ દરેક વોર્ડના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં લોકશાહી ઢબે પ્રક્રિયા ચાલી રહી છે. પાટીદાર બહુલ 7 વોર્ડ પર વિશેષ ફોકસઆજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. 'પરિવારવાદ' પર બ્રેક અને 'નો રિપીટેશન'નું સસ્પેન્સટિકિટ ફાળવણીમાં પરિવારવાદ અંગે પૂછવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પરિવારવાદમાં માનતી નથી. પક્ષ કાળજી રાખશે કે એક જ પરિવારના બે સભ્યોને ટિકિટ ન મળે. જોકે, પ્રવર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળશે કે નહીં તે અંગે તેમણે મૌન સેવ્યું હતું. ધાર્મિક માલવીયાની કેસરિયા સાથે દાવેદારીપાટીદાર અનામત આંદોલન (PAAS) ના અગ્રણી નેતા ધાર્મિક માલવીયા આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા અને વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવા માટે પ્રબળ દાવેદારી નોંધાવી હતી. અગાઉ ઓલપાડ બેઠક પરથી ભાજપ સામે ચૂંટણી લડનારા ધાર્મિક માલવીયા હવે સત્તાધારી પક્ષના બેનર હેઠળ મેદાને ઉતરવા તૈયાર થયા છે. પત્ની AAPના પૂર્વ કોર્પોરેટર હોવા છતાં ભાજપમાં વિશ્વાસધાર્મિક માલવીયાની પત્ની આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ટકોર કરતા કહ્યું કે, તેઓ AAPમાં કોર્પોરેટર હતા, અત્યારે નથી. તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને હવે તેઓ વકીલાતના વ્યવસાયમાં વ્યસ્ત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘરમાં કોઈ રાજકીય વિખવાદ નથી. અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યાની એન્ટ્રીસુરતના રાજકારણમાં સૌથી મોટો ધડાકો અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાની એન્ટ્રીથી થયો છે. કાવ્યા કથીરિયાએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માટે ભાજપમાંથી પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે. કાવ્યા અગાઉ કનકપુર-કનસાડ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, તેથી તેમની પાસે વહીવટી અનુભવ પણ છે. AAP પર કાવ્યા કથીરિયાના આકરા પ્રહારપોતાની દાવેદારી અંગે વાત કરતા કાવ્યા કથીરિયાએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી પાસે કોઈ ચોક્કસ વિઝન નથી, તેઓ માત્ર જનતાને ભ્રમિત કરવાના નુસખા અપનાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નગરપાલિકામાં કરેલા વિકાસકામો અને લોકો સાથેનો સંપર્ક તેમનો મજબૂત પાયો છે. 50% મહિલા અનામત, 'ડાઉન ટુ અર્થ' બહેનોની શોધમનપામાં 50% મહિલા અનામત અમલી હોવાથી મહિલા દાવેદારોમાં ભારે ઉત્સાહ છે. મહિલા નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, અમે એવી બહેનોને પ્રાધાન્ય આપીશું જે ગ્રાસરૂટ લેવલની કાર્યકર્તા હોય. માત્ર શોભાના ગાંઠિયા જેવી મહિલાઓ નહીં, પરંતુ જેઓ વોર્ડની સમસ્યાઓને વાચા આપી શકે તેમને અગ્રીમતા અપાશે. ડોક્યુમેન્ટ્સ વગર એન્ટ્રી નહીંભાજપ દ્વારા આ વખતે ઉમેદવારી ઈચ્છુકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દરેક ઉમેદવારે 3 પાસપોર્ટ સાઈઝ ફોટા, વર્ષ 2026ની લેટેસ્ટ મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ, અને તમામ સરકારી વેરા ભરાયા હોવાના પુરાવા રજૂ કરવા પડશે. પાટીદાર સમાજ અને વોટ બેંકનું ગણિતધાર્મિક માલવીયા અને કાવ્યા કથીરિયા જેવા ચહેરાઓને આગળ કરીને ભાજપ પાટીદાર વોટ બેંકમાં ગાબડું પાડવા માંગે છે. ધાર્મિક માલવીયાએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે પાટીદાર સમાજ ખૂબ જ સમજુ છે. જે લોકોએ સમાજની મુશ્કેલીઓમાં સાથે ઉભા રહીને અવાજ ઉઠાવ્યો છે, સમાજ તેમની તરફેણમાં જ વિચારશે. પારિવારિક સહમતી અને સપોર્ટરાજકારણ વિશે કાવ્યાએ સ્પષ્ટ કર્યું કે, પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા સાથે ચર્ચા કરીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાના સપોર્ટ અને પ્રચાર-પ્રસાર અંગે પણ તેમણે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતાશહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દાવેદાર સામે ભ્રષ્ટાચાર કે અન્ય ગંભીર આરોપો હશે, તો તેનો રિપોર્ટ સીધો શિસ્ત સમિતિને મોકલવામાં આવશે. પક્ષની છબી ખરડાય તેવા કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે નહીં. ક્લીન ઈમેજ ધરાવતા ચહેરાઓને જ પ્રાધાન્ય મળશે. રિપોર્ટ કાર્ડના આધારે ટિકિટની વહેંચણીનિરીક્ષકો દ્વારા આ ત્રણ દિવસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ વિગતોનું સંકલન કરવામાં આવશે. નિરીક્ષકો પોતાનો સીલબંધ રિપોર્ટ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરશે. કાર્યકર્તાઓના કામના આધારે જ ટિકિટની વહેંચણી થશે. સુરતના રાજકારણમાં હવે શું?સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પ્રદેશ ભાજપ પર ટકેલી છે. 30 વોર્ડના હજારો દાવેદારોમાંથી કોનું નસીબ ચમકશે તે જોવાનું રહેશે. આગામી બે દિવસની સેન્સ પ્રક્રિયામાં હજુ પણ અનેક મોટા અને ચોંકાવનારા ચહેરાઓ સામે આવે તેવી પૂરી સંભાવના છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું ગુજરાતમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આચારસંહિતા લાગુ થશે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટુકડાધારા કાયદામાં ઐતિહાસિક સુધારાનો વટહુકમ રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે..હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. આ સાથે 135-ડીની નોટિસનો સમય 30 દિવસથી ઘટાડી 7 દિવસનો કરાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ મનપાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ... ટિકિટોમાં સેટિંગ ન થાય માટે નિરિક્ષિકોના નામ પર સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.ભાજપ કાર્યાલય દાવેદારોની ભીડથી ઉભરાયા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી શિક્ષણ વિભાગે ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી... TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ,,, 15 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી અરજી કરી શકાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નર્મદા પરિક્રમાવાસીનો બાઈકસવાર પર હુમલો નર્મદા પરિક્રમા કરી રહેલા એક શખસે રસ્તા પરથી પસાર થતા બાઈક ચાલક પર ત્રિશૂળ વડે હુમલો કર્યો.. હુમલામાં બાઈક ચાલક ઘાયલ તો હુમલાખોર ઈજાગ્રસ્તની બાઈક લઈને ફરાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 200 રૂપિયા ના આપતા પતિએ પત્નીને મારી નાંખી અમદાવાદના થલતેજમાં બાળકોની સામે પતિએ પત્નીને પેટમાં છરી મારી મોતને ઘાટ ઉતારી.... બાળકોને એમ્બ્યુલન્સને ફોન પણ ના કરવા દીધો .... પત્નીએ 200 રૂપિયા ના આપતા પતિએ આ કૃત્ય કર્યુ .... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી..બંનેએ રોડ પર આપઘાતનો પ્રયાસ કર્યો અને રડતા રડતા વીડિયો બનાવી પોલીસ પર ફરિયાદ ન લેતા હોવાનો આક્ષેપ કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હત્યાના આરોપીએ જેલમાંથી નીકળીને કરી ગુંડાગર્દી અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હત્યાના આરોપીઓએ આતંક મચાવ્યો..આરોપીએ તેના સાગરિતો સાથે મળીને જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સચિન GIDCમાં વહેલી સવારે આગ લાગી સુરતની સચિન જીઆઈડીસીમાં વહેલી સવારે આગની ઘટના બની. ગોપી નિટિંગ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી..આગથી કરોડોના નુક્શાનની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ત્રણ વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું કાળઝાળ ગરમીમાં ત્રણ વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું... સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થતા આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ચૈત્રી પૂનમે પાટણથી બહુચરાજી પગપાળા સંઘો રવાના:પદયાત્રીઓ માટે માર્ગ પર સેવા કેમ્પો કાર્યરત
ચૈત્રી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે બુધવારે પાટણ શહેરમાંથી બહુચરાજી જવા માટે પગપાળા યાત્રા સંઘોનું પ્રસ્થાન થયું હતું. માતાજીની માંડવીઓ અને રથ સાથે ભક્તિ સંગીતના તાલે 'બોલ મારી બહુચર'ના જયઘોષ સાથે ભક્તો બહુચરાજી તરફ રવાના થયા હતા. પાટણ શહેરના કસારવાડો અને પનાગાર વાડો સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પદયાત્રા સંઘમાં જોડાયા હતા. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માતાજીની માંડવી સાથે સંગીતના તાલે ઝૂમતા બહુચરાજી તરફ પ્રયાણ કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પદયાત્રીઓને માર્ગમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. આ કેમ્પો યાત્રાળુઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા આયોજિત બહુચરાજી પગપાળા સેવા કેમ્પ મોઢેરા કેનાલ પાસે, એચ.પી. પંપની બાજુમાં કાર્યરત છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ગરમા-ગરમ લાઇવ કોથમીરવડી, આઇસ મિનરલ પાણી અને મેડિકલ સેવા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરી .દેવામાં આવી છે. વડોદરા મહાનગર ખાતે ચાર ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આજે પ્રથમ દિવસે એક વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. શહેરના ચાર ઝોનમાં 12 નિરીક્ષકો આવ્યાવડોદરા શહેરના સિસિદ્ધ વોર્ડને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર ઝોનમા વહેંચવામાં આવ્યું હતું. ચારેય ઝોનમાં 3-3 નિરીક્ષકો સવારે આવી પહોંચ્યા હતા. જોકે, સવારે નિરીક્ષકો આવ્યા નહીં ત્યાં સુધી સસ્પેન્સ યથાવત હતું. કોઈ કાર્યકરને નિરીક્ષક તરીકે કોણ આવશે તેની ગંધ સુધ્ધાં આવવા દેવામાં આવી ન હતી. વડોદરા શહેરમાં 12માંથી 5 નિરીક્ષક સુરતથી આવ્યા હતા. વર્તમાન કોર્પોરેટરો પાંચ વર્ષના કામનો ચિઠ્ઠો લઈને પહોંચ્યાશહેરમાં 19 વોર્ડમાં ગાબટ ટર્મમાં રહી ચૂકેલા કોર્પોરેટરો પણ દાવેદારી કરવા પહોંચ્યા હતા. આ પૈકી કેટલાય કોર્પોરેટરોએ પોતાના પાંચ વર્ષની કામગીરીની ફાઈલો તૈયાર કરીને નિરીક્ષક સમક્ષ ધરી હતી. જોકે, વડોદરા મહાનગરમાં આ વખતે જ્ઞાતિ આધારિત બેઠકોની ફાળવણીના કારણે અનેક લોકોએ પોતાની દાવેદારી ક્યાંથી નોંધાવવી તે પણ એક પ્રશ્ન જોવા મળ્યો હતો. કારણ કે હાલમાં કોર્પોરેટરો જે વોર્ડમાં છે ત્યાંના જ્ઞાતિ સમીકરણો બદલાઈ ચુક્યા છે. કેટલાકે વોર્ડ બદલવાની તૈયારી શરુ કરીજ્ઞાતિ આધારિત બેઠકોના કારણે વર્તમાન બોડીના 80 ટકા જેટલા કોર્પોરેટરો કપાઈ શકે છે. જેના કારણે કેટલાક કોર્પોરેટરોએ પોતાનો વોર્ડ બદલવાની પણ તૈયારીઓ બતાવી છે. અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગત અનુસાર ખુદ પૂર્વ ચેરમેને પણ પોતાનો વોર્ડ બદલી અન્ય વોર્ડમાંથી દાવેદારી નોંધાવી છે. જો કે તેઓ અન્ય જિલ્લામાં નિરીક્ષક તરીકે ગયા હોવાના કારણે તેઓએ પાર્ટી કાર્યાલય ખાતે ફોર્મ સુપરત કર્યું હોવાનું જાણવા મળ્યું છે. નિરીક્ષકો પ્રદેશમાં રિપોર્ટ રજુ કરશેવડોદરા મહાનગર ખાતે બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે. આ પ્રક્રિયા બાદ નિરીક્ષકો દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવશે અને તેને પ્રદેશ મોવડી મંડળ સમક્ષ મુકવામાં આવશે. ત્યાર બાદ પ્રદેશનું મોવડી મંડળ નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવવો. જો કે આ ભાજપ દ્વારા કરવામાં આવતી એક પ્રક્રિયા છે. સંભવતઃ જે લોકોએ દાવેદારી નથી નોંધાવી તેઓ પણ અંત સમયે ઉમેદવાર તરીકે જાહેર થઇ શકે છે. SC/ST બેઠક પર દાવેદારોનું જોર વધ્યુંવડોદરા મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી મુજબ આ વખતે મેયર તરીકે એસસી અને એસટી ઉમેદવારની નિમણુંક કરવામાં આવશે. ત્યારે જે વોર્ડમાં એસસી અને એસટી બેઠકો હતી તેના ઉપર દાવેદારોનો ઝોક વધુ જોવા મળ્યો હતો. વોર્ડ 8 માં તો 82 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં કુલ 1607 કરોડથી વધુના મૂડીરોકાણ ધરાવતા 23 ઔદ્યોગિક એકમોને સહાય આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ વધવાની સાથે રોજગારીના નવા દ્વાર ખુલશે. 5,600થી વધુ નવી રોજગારીનું સર્જન આ બેઠકમાં રાજ્યના 23 મોટા ઔદ્યોગિક એકમોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્રો આપવાની મંજૂરી અપાઈ છે. જેના પરિણામે રાજ્યમાં અંદાજિત 5,634 જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે. આ મંજૂરીઓથી અમદાવાદ, સુરત અને ભરૂચ સહિતના વિવિધ જિલ્લાઓના ઉદ્યોગોને મોટો વેગ મળશે અને રાજ્યના યુવાનોની આર્થિક ઉન્નતિ થશે. બે મુખ્ય યોજનાઓ હેઠળ પ્રોત્સાહન ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ 22 મોટા એકમો દ્વારા 770.29 કરોડના મૂડીરોકાણ અને 'આત્મનિર્ભર ગુજરાત યોજના-2022' હેઠળ પંચમહાલ જિલ્લાના 1 મોટા એકમ દ્વારા 837.67 કરોડના મૂડીરોકાણને મંજૂરી અપાઈ છે. સરકારનો મુખ્ય હેતુ ઉદ્યોગોને Net SGST સહાય, વ્યાજ સહાય અને EPF રીએમ્બર્સમેન્ટ આપીને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી MSME સેક્ટરના નાના એકમોને પણ વેગ મળે. જિલ્લાવાર મૂડીરોકાણની વિગતો બેઠકમાં વિવિધ સેક્ટરમાં રોકાણોને મંજૂરી અપાઈ છે, જેની વિગત નીચે મુજબ છે: અમદાવાદ: ઓટો સેક્ટરમાં 186.77 કરોડ સુરત: ટેક્ષટાઇલ અને પેપર સેક્ટરમાં 148.34 કરોડ ભરૂચ: કેમિકલ સેક્ટરમાં 186.57 કરોડ ગાંધીનગર: મેટલ અને મિનરલ્સમાં 81.09 કરોડ સાંબરકાંઠા: મેટલ સેક્ટરમાં 57.90 કરોડ પંચમહાલ: જનરલ અને અન્ય સેક્ટરમાં કુલ 853.47 કરોડ અન્ય જિલ્લાઓ: બનાસકાંઠા (26.07 કરોડ), મહેસાણા (25.89 કરોડ), રાજકોટ (9.82 કરોડ), વલસાડ (13.30 કરોડ) અને સુરેન્દ્રનગર (18.74 કરોડ). આ બેઠકમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામિત, અધિક મુખ્ય સચિવો ડૉ. જયંતિ રવી, ડૉ. ટી. નટરાજન, મમતા વર્મા તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અપુર્વ શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરના કરોડોના જમીન કૌભાંડમાં જેલહવાલે થયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જમીન NA (બિનખેતી) કરવાના બદલામાં મસમોટી લાંચ લેવાના ગંભીર આક્ષેપો હેઠળ ED દ્વારા ધરપકડ કરાયા બાદ, અમદાવાદની વિશેષ PMLA કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. હવે આ મામલે પૂર્વ કલેક્ટરે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, જેની સુનવણી આગામી 10 એપ્રિલના રોજ યોજાશે. તપાસમાં એવો ખુલાસો થયો હતો કે સરકારી વેબસાઇટ પરની 800 જેટલી અરજીઓમાં ભાવ નક્કી કરી 10 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, જેમાં લાંચની 50 ટકા રકમ સીધી કલેક્ટરના ખિસ્સામાં જતી હતી. PMLA કોર્ટ નકાર્યા બાદ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરીસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમના રિમાન્ડ બાદ તેઓ જેલમાં છે. કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ છે કે તેઓ જમીન NA કરવાના કરોડો રૂપિયા લેતા હતા. કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી અમદાવાદ સ્થિત વિશેષ PMLA કોર્ટ નકાર્યા બાદ તેણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જે સંદર્ભે આગામી 10 એપ્રિલના રોજ સુનવણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, ચાર્જશીટ ફાઇલ થયા પહેલાની આ જામીન અરજી છે. જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતોઅગાઉ ED વતી રિમાન્ડ માંગતા PMLA કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતો. સરકારી વેબસાઇટ ઉપર આવેલી એપ્લિકેશનની બાજુમાં એક કોલમ ઉમેરી ભાવ લખાતો હતો. આવી 800 અરજીઓ મળી આવી છે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈ છે. જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતીઆરોપીના બે ફોન સહિત હાર્ડ ડિસ્ક, મેક બુક વગેરે 10 ડિવાઈઝ કબ્જે લીધા છે. જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતી અને વહીવટ કલેક્ટરનો PA કરતો હતો. જ્યારે બાકીની રકમ અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી. ચેતન કણજારીયા નામના વ્યક્તિએ જમીન NA કરવા 65 લાખ જેટલી રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યું છે.
રાજકોટના નહેરુનગર વિસ્તારમાં 66 વર્ષીય વૃદ્ધ પર પિતા-પુત્રએ હુમલો કર્યો છે. મસ્જિદનું સબમર્સિબલ પંપ ચાલુ રહી જતાં પાણી રસ્તા પર વહેવા મામલે વૃદ્ધ સાથે બોલાચાલી કરી પિતા-પુત્રો દ્વારા ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટના રૈયા રોડ પર નહેરુંનગર શેરી નંબર 1માં રહેતા 66 વર્ષીય વૃદ્ધ શેખ અબ્દુલગની ઈબ્રાહીમભાઇ ગત તા.30.03.2026ના સોમવારે બપોરે 1.45 વાગ્યા આસપાસ નહેરુનગર વિસ્તારમાં આવેલ મહંમદી ઈબાદતગાહ ખાતે નમાજ પઢવા ગયા હતા. તેઓ હાલ નિવૃત્ત જીવન જીવતા હોય મસ્જિદની સાફ-સફાઈ તેમજ પાણી ભરવાનું કાર્ય સંભાળે છે માટે અહીં પહોંચી તેમણે પાણી ભરવા સબમર્સીબલ પંપ શરૂ કર્યો હતો દરમિયાન ટાંકી ભરાઈ જતાં રસ્તા પર પાણી વહેવા લાગ્યું હતું. નમાઝ અદા કરી બહાર આવતા અહીં ઈબાદતગાહની બાજુમાં જ રહેતા મહેબૂબભાઈ ઉર્ફે કાળુભાઈ આમદાણી ધસી આવ્યા હતા તેણે અહીં કેમ રોડ પર પાણી ભરાયું છે તેમ પૂછયું હતું જેથી વૃદ્ધે કહ્યું હતું કે, ટાંકો છલકાઈ જતા પાણી રોડ પર આવી ગયું છે, હું નમાઝ અદા કરી રહ્યો હતો માટે સબમર્સીબલ પંપ બંધ કરવાનું બાકી રહી ગયું હતું. આ સાંભળતાની સાથે જ મહેબુબ ઉર્ફે કાળુ આમદાણી અને તેનો પુત્ર અશફાક આમદાણી ઉશ્કેરાઈ ગયા હતા અને 66 વર્ષીય વૃદ્ધને માર મારવા લાગ્યા હતા. પ્રથમ વૃદ્ધને ઢીકા-પાટુનો માર મારી પિતા-પુત્રએ ચશ્મા તોડી નાખ્યા હતા. બાદ તિક્ષણ હથિયારનો ઘા ઝીંકી દેતાં હાથના ભાગે છરકો લાગી ગયો હતો. ઉપરાંત ધોકા-પાઇપ વડે માર મારતા વૃદ્ધને માથા છાતી અને પેટના ભાગે ઇજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને પિતા-પુત્રો અહીંથી નાસી ગયા હતા. જે બાદ વૃદ્ધએ બનાવ બાબતે બંને પુત્રોને જાણ કરતા તેઓ બંને દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેઓ હાલ સારવાર લઇ રહ્યા છે.
દારૂબંધી હોવાથી બુટલેગર અલગ-અલગ ટેક્નિકથી દારૂ લાવતા હોય છે ત્યારે રાજસ્થાનથી રીક્ષામાં CNG કીટની જગ્યાએ દારૂ લઈને આવનારો શખ્સ ઝડપાયો છે. આરોપીએ રીક્ષામાંથી CNG કીટ કાઢી લીધી હતી, જે બાદ રિક્ષા લઈને જ રાજસ્થાન ગયો હતો.રીક્ષામાં 180 દારૂની બોટલ ભરીને લાવ્યો હતો જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રિક્ષામાં તપાસ કરતા CNG કીટ મુકવાની જગ્યાએ દારૂની બોટલો મળી આવીઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણ અને તેમની ટીમને બાતમી મળી હતી જેના આધારે દાણીલીમડા વિસ્તારમાં એક રિક્ષાચાલકને ઝડપ્યો હતો. રિક્ષામાં તપાસ કરતા CNG કીટ મુકવાની જગ્યાએ દારૂની બોટલો મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે સાદિક મિર્ઝા (રહે - વટવા)ની દારૂની 180 બોટલ સાથે ધરપકડ કરી છે. આરોપી રિક્ષા લઈને ડર 2 -3 દિવસે રાજસ્થાન જતો હતોક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ જૂનામાં રિક્ષા લીધી હતી જે બાદ CNG કીટ કઢાવી રિક્ષા પેટ્રોલ પર ચલાવતો હતો. આરોપી રિક્ષા લઈને ડર 2 -3 દિવસે રાજસ્થાન જતો હતો અને રાજસ્થાનથી CNG કીટની જગ્યાએ દારૂની બોટલ ભરીને લાવતો હતો. આરોપી દારૂનું છૂટક વેચાણ પણ કરતો હતો.ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી SOGએ 4 ઘુવડ તસ્કરોને ઝડપ્યા:તાંત્રિક વિધિ માટે મંગાવેલું ઘુવડ મૃત હાલતમાં મળ્યું
નવસારી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને ચીખલી વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઘુવડની તસ્કરી કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી તાંત્રિક વિધિ માટે મંગાવવામાં આવેલું ઘુવડ મૃત હાલતમાં મળી આવ્યું હતું. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, ચીખલીના કણભઈ ગામના ઈશ્વર મગન પટેલને કોઈ અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિ માટે ઘુવડ લાવવા બદલ ૩ લાખ રૂપિયાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ઈશ્વરે સ્મિત પટેલનો સંપર્ક કર્યો હતો. સ્મિતે રૂમલા ગામના વેટરનરી ડોક્ટર પ્રિતેશ દેશમુખને આ અંગે જણાવ્યું હતું. ડોક્ટર પ્રિતેશે સુરતના જુલિયસ નામના શખ્સ પાસેથી ઘુવડની વ્યવસ્થા કરાવી હતી. સુરતના જુલિયસે પરિમલ વસાવા મારફતે બાઈક પર પૂંઠાના બોક્સમાં ઘુવડ મોકલ્યું હતું. બોક્સમાં પક્ષી માટે ખોરાક કે પૂરતી હવાની વ્યવસ્થા નહોતી. ચીખલીના સાદડવેલ ગામે આનંદ ફાર્મ પાસે આ શખ્સો ઘુવડનું વેચાણ કરવા એકઠા થયા ત્યારે SOG અને વન વિભાગની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ચારેયને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઈશ્વર મગન પટેલ (રહે. કણભઈ, ચીખલી), સ્મિત વેણીલાલ પટેલ (રહે. ગોડથલ, ચીખલી), વેટરનરી ડોક્ટર પ્રિતેશ તુલસીદાસ દેશમુખ (રહે. રૂમલા) અને પરિમલ માધુસિંહ વસાવા (ઘુવડ લાવનાર) નો સમાવેશ થાય છે. આ કેસમાં સુરતનો જુલિયસ નામનો શખ્સ વોન્ટેડ છે. ચીખલી રેન્જના RFO આર. સી. ગાવિતે જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછમાં તાંત્રિક વિધિ દ્વારા પૈસા કમાવવા માટે ઘુવડ મંગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કબજે કરાયેલું ઘુવડ મૃત હાલતમાં મળ્યું હતું. મૃત પક્ષીનું પોસ્ટમોર્ટમ કરાવી નિયમાનુસાર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે ચારેય આરોપીઓને વન વિભાગના હવાલે કર્યા છે, જ્યારે આ ગુનાના મુખ્ય સૂત્રધાર ગણાતા સુરતના જુલિયસને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શિડ્યુલ વનમાં આવતા પક્ષીની હત્યા અને તસ્કરીના આ કેસમાં કડક સજા થાય તેવી શક્યતા છે.
વાલોડ પોલીસે 2690 કિલો ગૌમાંસ જપ્ત કર્યું, 4 આરોપી ઝડપાયા:સુરતના બે રીઢા ગુનેગારની સંડોવણી સામે આવી
તાપી જિલ્લાની વાલોડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. ગત ત્રીજી ફેબ્રુઆરીએ અંદાજે 2690 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમાં સુરતના લીંબાયત વિસ્તારના બે ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ગત તારીખ 03/02/2026 ના રોજ બની હતી. વાલોડ તાલુકાના ધામોદલા ગામના પટેલ ફળિયામાંથી પસાર થતી એક બોલેરો પીકઅપ ગાડીને શંકાના આધારે રોકવામાં આવી હતી. તેની તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલો કુલ 2690 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વાલોડ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 325 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વાલોડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતર દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે બાતમીના આધારે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ડેવિડ ઉર્ફે દેવળ સખારામ ગામીત (રહે. અગાસવાણ, સોનગઢ), સૈયદ ઉર્ફે સાહિલ દાઉદ ગામીત (રહે. વાઘપાણી, વ્યારા), હનિફ ઉર્ફે તૌસીફ રફિક સૈયદ (રહે. મીઠીખાડી, લીંબાયત, સુરત) અને સફિક રફિક સૈયદ (રહે. મીઠીખાડી, લીંબાયત, સુરત)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી સફિક રફિક સૈયદ અને હનિફ ઉર્ફે તૌસીફ રીઢા ગુનેગાર છે. સફિક સૈયદ વિરુદ્ધ અગાઉ સુરતના ખટોદરા, લીંબાયત અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા, જાહેરનામા ભંગ અને પાસા (PASA) સહિતના કુલ 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે હનિફ સૈયદ વિરુદ્ધ પણ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ અંગેનો ગુનો અગાઉ નોંધાઈ ચુક્યો છે. વાલોડ પોલીસે તમામ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ ગૌમાંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં સપ્લાય કરવાનું હતું તે દિશામાં વધુ તપાસ કરવા માટે પોલીસે તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
કલોલના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપુતની કોર્ટે સમાજમાં દાખલો બેસે તેમાટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વડસર ગ્રામ પંચાયત પાસે 8 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં અને છેડતી કરનાર આરોપી હસમુખજી ધનાજી ઠાકોરને અદાલતે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને રૂ. 50,000નો દંડ અને ભોગ બનનાર બાળકીને રૂ. 2,00,000 વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. ન્યાય કરવામાં નિષ્ફળતા મળે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકેચુકાદાની શરૂઆતમાં ન્યાયાધીશ દ્વારા ધર્મ એવ હતો હન્તિ ધર્મ રક્ષતિ રક્ષિતઃ શ્લોક ટાંકવામાં આવ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, જો ન્યાય ધર્મનો નાશ થાય તો તે આપણો પણ નાશ કરે છે, પરંતુ જો ન્યાયનું રક્ષણ કરવામાં આવે તો તે આપણું રક્ષણ કરે છે. આવા ગંભીર ગુનાઓમાં જો ન્યાય કરવામાં નિષ્ફળતા મળે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. 8 વર્ષની બાળકીને શેરડીનો રસ પીવડાવવાના બહાને છેડતી કરીઆ કેસની વિગત મુજબ, 14 એપ્રિલ 2021ના રોજ વડસર ગ્રામ પંચાયત પાસે રમતી 8 વર્ષની બાળકીને આરોપી શેરડીનો રસ પીવડાવવાની લાલચ આપી બાથરૂમ પાસે લઈ ગયો હતો અને તેની છેડતી કરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને આરોપી નાસી છૂટ્યો હતો. કોર્ટે આરોપીને 5 વર્ષની કેદ અને 50 હજારનો દંડ ફટકાર્યોઆ મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં સરકારી વકીલ જીગ્નેશ એચ. જોશીએ ધારદાર દલીલો કરી હતી. જેમાં પંચાયતની ઓફિસ બહારના સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા. પેનડ્રાઈવમાં રજૂ કરાયેલા આ ફૂટેજના આધારે સાહેદોએ કોર્ટમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો. જે દલીલો અને પુરાવાઓને ગ્રાહ રાખી કોર્ટ આરોપી હસમુખજી ધનાજી ઠાકોર પાંચ વર્ષની કેદ અને 50 હજારનો દંડ ભોગવવા ઉપરાંત પીડિતાને બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ડોનર લાઈફ દ્વારા 58માં હૃદયનું દાન સુરતની મૈત્રેય મલ્સી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલથી કરવામાં આવ્યું છે. BRTS બસ અડફેટે હાર્દિક ખુડખુડીયા (ઉ.વ 37) આવ્યા બાદ બ્રેઈનડેડ થતા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૃતકની પત્ની, 7 વર્ષની દીકરી અને બે વર્ષના દીકરાએ ભારે હૈયે હાર્દિકભાઈના અંગોનું દાન કર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 30 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. BRTS બસે અડફેટે લેતા હાર્દિકને હોસ્પિટલ ખસેડાયો હતોમળતી માહિતી પ્રમાણે, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલ સુરતના અલથાણ વિસ્તારમાં ગોકુલ રેસીડેન્સીમાં રહેતા અને એમ્બ્રોડરી ખાતામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હાર્દિક તા. 25 માર્ચના રોજ બપોરે 4 વાગ્યે પાંડેસરા BRC ભવનથી મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે BRTS બસ સાથે અકસ્માત થતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. હાર્દિકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખ કરવામાં આવ્યો હતો. હાર્દિકને બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠોવધુ સારવાર માટે તેને મૈત્રેય મલ્ટી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ફિઝિશયન ડો. પ્રિયાંક શાહની સારવાર હેઠળ દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. તા. 31 માર્ચના રોજ ડોક્ટરોએ હાર્દિકને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. ખુડખુડીયા પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યુંડોક્ટરોએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી હાર્દિકના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી અને હાર્દિકની પત્ની પ્રિયા, પિતા ભરતભાઈ, માતા આશાબેન, ભાઈ મયંક, બનેવી કલ્પેશભાઈ અને વૈભવભાઈ, સાળા વત્સલભાઈ, સસરા નિલેશભાઈ, માસા કેતનભાઈ, પિતરાઈ ભાઈ પરેશ તેમજ ખુડખુડીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પરિવારજનોએ હાર્દિકના અંગોના દાનની મંજૂરી દર્શાવીહાર્દિકની પત્ની પ્રિયા અને પિતા ભરતભાઈએ જણાવ્યું કે, મારા પતિ/પુત્ર બ્રેઇનડેડ છે, અંગો રાખ જ થઈ જવાના છે, ત્યારે મારા પતિ/પુત્રના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હાર્દિકના પરિવારમાં પત્ની પ્રિયા (ઉ.વ.30) ગૃહિણી છે. પુત્રી ટિવશા (ઉ.વ.7) નંદુબા ઇંગ્લિસ એકેડમીમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પુત્ર સારાંશ (ઉ.વ.2) છે. પિતા ભરતભાઈ (ઉ.વ.70) નિવૃત જીવન જીવે છે. માતા આશાબેન (ઉ.વ.67) બ્યુટીપાર્લર ચલાવે છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 30 વર્ષીય યુવકમાં કરાયુંપરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બંને કિડનીની ફાળવણી HLAનો રિપોર્ટ આવ્યા પછી SOTTO દ્વારા કરવામાં આવશે. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 30 વર્ષીય યુવકમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ નાશિકના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ SOTTO દ્વારા ફાળવણી કર્યા પછી બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. ઉલ્લેખનીય છે કે, કિરણ હોસ્પિટલમાં સૌ પ્રથમ વખત હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. સુરતે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યુંડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ અઠ્ઠાવનમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
સુરતમાં વિદેશ જવાના ક્રેઝ વચ્ચે ઠગ એજન્ટો ફૂટી નીકળ્યા છે. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કરોડોની છેતરપિંડીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવતા મુખ્ય સૂત્રધાર વરુણ રાજુભાઈ પરમારની ધરપકડ કરી છે. આરોપીએ મહાકાલ ટ્રાવેલ્સ ટ્રેલ્સ નામે એજન્સી ખોલી નિર્દોષ લોકોને ફિનલેન્ડ અને કેનેડા જેવા દેશોના લલચામણા વિઝાની લાલચ આપી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ કુલ 13 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વિઝા પ્રક્રિયાના નામે અધધ 2.13 કરોડની રકમ ખંખેરી લીધી હતી. વિઝા ફ્રોડનો ગુનો નોંધાયા બાદ પોલીસની ટીમ સતર્ક બનીACP શ્વેતા ડેનિયલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પાલ પોલીસ સ્ટેશનમાં વિઝા ફ્રોડનો ગુનો નોંધાયા બાદ પોલીસની ટીમ સતર્ક બની હતી. આરોપી વરુણ પરમાર ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. જોકે, પાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને શોધી કાઢ્યો છે. આરોપી અડાજણ વિસ્તારના ગ્રીન રેસીડેન્સીમાં રહેતો હતો અને ગૌરવપથ રોડ પર ટાઇમ્સ સ્કવેરમાં પોતાની ઓફિસ ચલાવીને લોકોને શિકાર બનાવતો હતો. 13 ક્લાયન્ટ્સ પાસેથી વિઝાના બહાને કુલ 2.13 કરોડ પડાવ્યાઠગ એજન્ટ વરુણ પરમારની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તે લોકોને વિશ્વાસમાં લેતો હતો કે તે ફિનલેન્ડના ઈ-વર્ક પરમિટ વિઝા અને કેનેડાના સ્ટેમ્પ વિઝા ખૂબ જ ટૂંકા ગાળામાં અપાવી દેશે. આ વિશ્વાસના જોરે તેણે 13 ક્લાયન્ટ્સ પાસેથી રોકડા તેમજ બેંક ટ્રાન્સફર મારફતે કુલ 2,13,00,000 પડાવી લીધા હતા. પૈસા લીધા બાદ આરોપી ક્લાયન્ટ્સને વાયદા આપતો હતો, પરંતુ કોઈને પણ ફ્લાઇટ ન કરાવીને પોતાની આર્થિક લાલસા સંતોષી હતી. વરુણ સિવાય અન્ય સ્થાનિક કે આંતરરાજ્ય એજન્ટો પણ સામેલઆ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે, પાલ પોલીસ મથકમાં અગાઉ પણ વિઝા ફ્રોડનો કેસ રજીસ્ટર થયેલો હતો, જેમાં 23 ક્લાયન્ટ્સ પાસેથી 39 લાખની છેતરપિંડી થઈ હતી. તે કેસની તપાસ દરમિયાન વરુણ પરમારની સીધી સંડોવણી સામે આવી હતી. પોલીસને આશંકા છે કે આ એક મોટું રેકેટ હોઈ શકે છે, જેમાં વરુણ સિવાય અન્ય સ્થાનિક કે આંતરરાજ્ય એજન્ટો પણ સામેલ હોઈ શકે છે. હાલ પોલીસ આ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈઝડપાયેલા આરોપી વરુણ પરમાર (ઉં.વ. 31) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તેના રિમાન્ડ મેળવીને એ જાણવા માગે છે કે તેણે પડાવેલા 2.13 કરોડ ક્યાં રોક્યા છે અથવા કોને ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત, તેની ઓફિસમાંથી કયા કયા દસ્તાવેજો મળી આવ્યા છે અને અન્ય કેટલા લોકો ઠગાઈનો ભોગ બન્યા છે તેની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસ તેજ કરીઆ કેસમાં ભોગ બનનાર યુવાનોએ પોતાની જિંદગીની જમાપુંજી વિદેશ જવાના મોહમાં એજન્ટને સોંપી દીધી હતી. ઘણા લોકોએ વ્યાજે પૈસા લઈને કે મિલકત ગીરવે મૂકીને એજન્ટને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે મહિનાઓ વીતવા છતાં વિઝા ન મળ્યા અને એજન્ટે હાથ ઊંચા કરી દીધા, ત્યારે ભોગ બનનારાઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. હાલ પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસ તેજ કરી છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
મોરબી જિલ્લામાં રાષ્ટ્રભક્ત તરીકેની છબી ઊભી કરનાર અજય લોરીયા વિરુદ્ધ સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનો મળીને 2000 લોકોએ મોરબી એસપી કચેરીમાં રજૂઆત કરી છે. અજય લોરીયાની 'ક્રાઈમ કુંડળી' રજૂ કરીને જિલ્લામાં ચાલતા અનેક બે નંબરના ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં તેની ભાગીદારી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 29 માર્ચે 25 લાખની લેતીદેતીમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પર હુમલાના કેસમાં કોર્ટે આજે લોરીયાને જેલ હવાલે કર્યો છે. કોણ છે અજય લોરીયા? અજય લોરીયા મોરબી જિલ્લા પંચાયતની હાલ પૂરી થયેલી ટર્મની બોડીમાં જિલ્લા પંચાયત સદસ્ય હતો. મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી જીત્યો હતો. મોરબી જિલ્લા પંચાયતની પૂરી થયેલી ટર્મમાં પ્રથમ અઢી વર્ષ તે બાંધકામ સમિતિનો ચેરમેન હતો. હાલ તે ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દો ધરાવતો નથી. તે ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’નો સ્થાપક છે. પૈસા પરત માંગતા અજય લોરીયાએ સિરામિક ઉદ્યોગપતિ પર કર્યો જીવલેણ હુમલોઅજય લોરીયાએ 29 માર્ચે 25 લાખની લેતીદેતીમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ શેખર આદ્રોજા પર જીવલેણ હુમલો કર્યો હતો.સિરામિક ઉદ્યોગપતિ શેખર આદ્રોજાએ અજય લોરીયાને 25 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. લાંબા સમય બાદ આ રકમ પરત માંગતા અજય લોરીયાએ શનાળા રોડ પર આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવી ત્યાં લોખંડની ખીલીઓ જડેલો ધોકો કાઢી શેખર આદ્રોજા અને તેના મિત્ર જયેશ પાડલીયા બંને પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં જયેશ પાડલીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 12થી વધુ ટાંકા આવ્યા હતા, જ્યારે શેખર આદ્રોજાને બંને હાથમાં ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે શેખર આદ્રોજા અને તેના મિત્ર જયેશ પાડલીયાના નિવેદનને આધારે ફરિયાદ નોંધી સોમવારની સાંજે અજય લોરીયાની ધરપકડ કરી હતી. બુધવારે લોરીયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે. પાટીદાર સમાજ અને ઉદ્યોગકારોએ આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે, જેથી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે. અનેક લોકોના પૈસા પરત નથી કર્યા, પૈસા માંગનારને ધાકધમકી આપી હુમલા કર્યામોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ, પાટીદાર અગ્રણી મનોજ પનારા સહિતના આગેવાનોએ એસપી કચેરીએ પહોંચીને શેખર આદ્રોજાના નામની લેખિત અરજી પણ આપી હતી. આ અરજીમાં જણાવાયું છે કે, લોરીયાએ શેખર આદ્રોજાની જેમ અનેક લોકોના પૈસા લઈને પરત કર્યા નથી અને પૈસા માંગનારને ધાકધમકી આપી, લુખ્ખાગીરી કરી તેમજ હુમલા કર્યા છે. જોકે, ઘણા લોકો ડરના કારણે ફરિયાદ કરવા તૈયાર થતા નથી. અજય લોરીયા પર સટ્ટા સહિતના અનેક ગુનાઓરજૂઆતમાં અજય લોરીયા પર ક્રિકેટનો સટ્ટો રમાડવો, એમ.સી.એક્સ.ના ગેરકાયદેસર વાયદા લેવા, ડબ્બા ટ્રેડિંગ, બાયો ડીઝલ વેચવું, હનીટ્રેપ કરવી, કિંમતી જમીન પર કબજા કરવા, ગુંડાગીરી, ગોવામાં ગેરકાયદેસર જુગાર રમાડવો, દારૂ વેચતા બુટલેગરોને ટેકો આપવો અને અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમના ઘર બરબાદ કરવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોતાને રાષ્ટ્રભક્ત બતાવે છે, પરંતુ તેની તમામ પ્રવૃત્તિઓ દેશદ્રોહી જેવીઆક્ષેપ કરનારાઓએ જણાવ્યું કે, અજય લોરીયા રાજકીય વગ અને સામાજિક પ્રવૃત્તિઓના ઓઠા હેઠળ અનેક ખોટા ધંધા કરે છે. તે પોતાને રાષ્ટ્રભક્ત બતાવે છે, પરંતુ તેની તમામ પ્રવૃત્તિઓ દેશદ્રોહી જેવી છે. વધુમાં, તે ધર્મપ્રેમી હોવાનો ઢોંગ કરીને વિધર્મીઓ સાથે ગેંગ બનાવીને અનેક પાટીદાર યુવાનોને સટ્ટાના રવાડે ચડાવી તેમની જિંદગી બરબાદ કરી છે. બાવળને આંબો સમજીને પાણી આપણે પાયું : મનોજ પનારામનોજ પનારાએ જણાવ્યુ હતું કે, બાવળને આંબો સમજીને પાણી આપણે પાયું છે જો કે, હવે તેને કાપવાની જવાબદારી આપણી જ છે કેમ કે, જેટલા પણ બે નંબરના ધંધા છે તેમાં અજય લોરિયાનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે જેથી તેની ક્રાઇમ કુંડળી એસપીને આપવામાં આવેલ છે.
મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાનાઓએ ગેસના અભાવ અને ઊંચા ભાવને કારણે તેમનું વેકેશન લંબાવ્યું છે. સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનની બેઠકમાં 1 મે, 2026 સુધી કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ બાદ મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર થઈ છે. શરૂઆતમાં પ્રોપેન ગેસની અછતને કારણે લગભગ 450 કારખાના બંધ થયા હતા. ત્યારબાદ નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી ઉદ્યોગકારોની મુશ્કેલીઓ વધી છે. યુદ્ધ પહેલા જે નેચરલ ગેસ રૂ. 41 પ્રતિ ક્યુબિક મીટરના ભાવે મળતો હતો, તેનો ભાવ હાલમાં રૂ. 92 થી રૂ. 93 થયો છે. ટેક્સ સાથે આ ભાવ રૂ. 104 થી રૂ. 105 પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોંચવાની શક્યતા છે. આજે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે સિરામિક વોલ ટાઇલ્સના પ્રમુખ નરેન્દ્ર સંઘાત, પૂર્વ પ્રમુખ હરેશ બોપલિયા, મુકેશ ઉઘરેજા અને મણી પટેલની હાજરીમાં 161 વોલ ટાઇલ્સ કારખાનાના માલિકોની બેઠક યોજાઈ હતી. યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અગાઉ 15 એપ્રિલ સુધી કારખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયમાં વધુ 15 દિવસનો વધારો કરીને હવે 1 મે સુધી તમામ સિરામિક વોલ ટાઇલ્સ કારખાના બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પાર્કિંગ ટાઇલ્સ, પોરસોલીન ટાઇલ્સ અને ડબલ ચાર્જ ટાઇલ્સ બનાવતા યુનિટ પણ 1 મે સુધી બંધ રહેશે. મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સંઘાતે જણાવ્યું હતું કે, નેચરલ ગેસના ભાવમાં થયેલા અસાધારણ વધારાને કારણે ઉત્પાદન ખર્ચ ખૂબ વધી ગયો છે. જો કારખાના ચાલુ રાખવામાં આવે અને ઉત્પાદનોના ભાવ વધારવામાં આવે, તો તે બજારમાં સ્વીકાર્ય નહીં હોય. આથી, ઉદ્યોગકારોએ સામૂહિક રીતે વધુ 15 દિવસ કારખાના બંધ રાખીને 1 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી નુકસાન ટાળી શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે મોરબીના એક્સપોર્ટ માર્કેટને બહુ મોટી અસર થવાની છે કારણ કે કુલ એક્સપોર્ટમાંથી 25 ટકા જેટલો માલ જીસીસીના દેશમાં સપ્લાય કરવામાં આવતો હતો અને હાલમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસના અભાવના કારણે બંધ છે બીજી બાજુ મોરબીનો સૌથી મોટો હરીફ ચાઈના છે અને ત્યાં આજની તારીખે પણ સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન ચાલુ છે. ત્યાં આપણા કરતાં ઘણો સસ્તો ગેસ મળતો હોવાના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે તેની સાથે ભાવમાં કોમ્પિટિશનમાં ઊભા રહી શકી તેમ નથી આમ જીસીસીના દેશ સહિત સમગ્ર દુનિયામાં મોરબીના સિરામિક ટાઇલ્સના એક્સપોર્ટ માર્કેટને આ યુદ્ધના કારણે બહુ મોટી અસર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ટ્રમ્પનો ફરી યુ-ટર્ન: ન હોર્મુઝ ખુલ્યું, ન ડીલ થઈ; છતાં અમેરિકા કેમ ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર?
Donald Trump Iran War U-Turn : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 33 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે શાંત પડવાના એંધાણ સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પરથી લાગી રહ્યું છે કે, હવે ગમે ત્યારે યુદ્ધ ખતમ થઈ શકે છે. હવે અમેરિકા પાછીપાની કરવા તૈયાર થઈ ગયું છે. ખુદ ટ્રમ્પે યુદ્ધ ખતમ કરવાનો ઈશારો આપ્યો છે. ટ્રમ્પે ઈરાન યુદ્ધને ખતમ કરવાની ડેડલાઈન પણ નક્કી કરી દીધી છે. તેમના કહેવા મુજબ, અમેરિકા ટૂંક સમયમાં કે પછી બે-ત્રણ અઠવાડિયામાં ઈરામાંથી જતું રહેશે.
સુરેન્દ્રનગરની નિધિ છગનભાઈ હળવદિયાએ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં સતત ત્રણ વર્ષ વિજેતા બની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહના અનુસંધાને યોજાયેલી આ સ્પર્ધામાં નિધિએ હેટ્રિક નોંધાવી છે. નિધિએ વર્ષ 2024માં દ્વિતીય ક્રમ, જ્યારે 2025 અને 2026માં પ્રથમ ક્રમ મેળવીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સફળતા માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર અને સમાજ માટે ગૌરવની વાત છે. તેમણે પોતાના ઉત્તમ લેખન કૌશલ્ય, ઊંડા વિચારો અને સ્પષ્ટ અભિવ્યક્તિ દ્વારા નિબંધ સ્પર્ધામાં નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. સતત ત્રણ વર્ષ સુધી આ સિદ્ધિ મેળવવી એ તેમની મહેનત, લગન અને પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. આ સિદ્ધિ બદલ માર્ગદર્શક ડૉ. ગજેન્દ્રસિંહ ઝાલા અને પરિવારના સભ્યોએ હર્ષ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઈ દવેના હસ્તે નિધિને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ગ્રંથપાલ ભાવનાબેન વ્યાસે જણાવ્યું હતું કે, નિધિની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ભવિષ્યમાં પણ તે વધુ ઊંચાઈઓ સર કરશે તેવી આશા છે. નિધિએ પોતાના પરિવારનું નામ રાજ્ય સ્તરે ગૌરવ સાથે ઉજ્જવળ બનાવ્યું છે.
BREAKING: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો
Gujarat Local Body Election: ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહા નગરપાલિકા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત
જામનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે દાવેદારો ઉમટ્યા
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જામનગરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'અટલ ભવન' ખાતે આજે જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા (સેન્સ) શરૂ કરવામાં આવી છે. ટિકિટ મેળવવા માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા, જેના કારણે કાર્યાલય ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી. પક્ષના સંગઠન દ્વારા આ મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. પક્ષના નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળીને તેમની દાવેદારીની ચકાસણી કરવામાં આવી રહી છે. સંગઠન દ્વારા કુલ છ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ઉમેદવારો પાસેથી સેન્સ લેવાની કામગીરી કરી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે પક્ષ દ્વારા નિરીક્ષકોને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગ્રુપ-1 માં નૈલૈશભાઈ શાહ (પૂર્વ જિલ્લા પ્રમુખ, ગાંધીનગર), વીણાબેન પ્રજાપતિ (પૂર્વ પ્રદેશ મહામંત્રી, મહિલા મોરચો) અને જનકભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-2 માં મધુબેન પટેલ (પૂર્વ પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો), હિતેન્દ્રભાઈ પટેલ (પૂર્વ પ્રદેશ સહ પ્રવક્તા) અને મહેન્દ્રભાઈ બાવલિયા (પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, બક્ષીપંચ મોરચો) નિરીક્ષક તરીકે કાર્યરત છે. સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં દાવેદારો અટલ ભવન પહોંચ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઈચ્છતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોના મંતવ્યો અને તેમની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેના આધારે અંતિમ યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જામનગરની બેઠકો પર ઉમેદવારોના નામ અંગેની સ્પષ્ટતા થવાની સંભાવના છે, જેને લઈને હાલમાં જામનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
બનાસકાંઠા જિલ્લામાં ₹160.65 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યો જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાલનપુર ખાતે નવી કલેકટર કચેરી 'ગ્રીન બિલ્ડીંગ'ના ધોરણે વિકસાવવામાં આવી રહી છે. આ બિલ્ડીંગમાં પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ જેવી કે દિવસ દરમિયાન ઓછામાં ઓછી લાઇટનો ઉપયોગ થાય તેવી ડિઝાઇન અને તાપમાન નિયંત્રણ માટે આધુનિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આનાથી વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન બિલ્ડીંગમાં ઠંડક જળવાઈ રહેશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે લોકોની જરૂરિયાતો અને સંવેદનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્માણ કર્યું છે, જે પ્રશાસન અને નાગરિકો વચ્ચે સારો સંપર્ક સ્થાપિત કરશે. આ ગ્રીન બિલ્ડીંગ ભવિષ્યમાં આધુનિક ડિજિટલ બિલ્ડીંગ તરીકે કાર્ય કરશે. મંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે સહિયારા પ્રયાસોથી વિકસિત બનાસકાંઠા જિલ્લાની દિશામાં આગળ વધવા હાકલ કરી હતી. આ વિકાસકાર્યોમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ અને કલેક્ટર કચેરી સંબંધિત મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. કાણોદર ખાતે ₹53 કરોડના ખર્ચે નિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે અમદાવાદ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપશે. આ ઉપરાંત, દાંતા વિસ્તારમાં મોટા સડાથી નાગેલ સુધીના ₹30 કરોડના ખર્ચે તૈયાર થનારા રિસરફેસિંગ રોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક પરિવહનને વધુ સુદ્રઢ બનાવશે. વિકાસકામોની સાથે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રની વ્યાપક સંભાવનાઓ પર ભાર મૂકતા જણાવાયું હતું કે, બનાસકાંઠામાં એગ્રો-ટૂરિઝમ અને એસ્ટ્રો-ટૂરિઝમ માટે ઉજ્જવળ તકો રહેલી છે. નવી પેઢીને ખેતી અને ગ્રામીણ જીવનશૈલીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે એગ્રો-ટૂરિઝમ એક મજબૂત આર્થિક સ્ત્રોત બની શકે તેમ છે. આ સાથે જ પ્રવાસન ક્ષેત્રે 'સર્વિસ સેક્ટર'ને વધુ કાર્યક્ષમ બનાવવાની હાકલ કરવામાં આવી હતી, જેથી જિલ્લાની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય. રાજ્ય સરકાર દ્વારા વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ગામડાંથી લઈને શહેર સુધી સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. આવા વિકાસકાર્યોના કારણે સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને નવી દિશા મળશે. મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે થયેલ લોકાર્પણ /ખાતમુર્હુતની વિગતો કાણોદર ખાતે ફ્લાય ઓવરનું લોકાર્પણ: પાલનપુર તાલુકાના કાણોદર જંક્શન પર અમદાવાદ-પાલનપુર હાઈવે પર અંદાજે રૂ. 53.96 કરોડના ખર્ચે નિર્મિત ફ્લાય ઓવરનું લોકાર્પણ કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત: પાલનપુર મુકામે અંદાજે રૂ. 59.17 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી કલેક્ટર કચેરીના મકાનનું ખાતમુહૂર્ત દાંતીવાડા ડેમ પ્રોજેક્ટ અંતર્ગત રોડનું ખાતમુહૂર્ત: દાંતીવાડા તાલુકામાં મેઈન કેનાલ, દાંતીવાડા ડેમ સર્વિસ રોડના રીસરફેસીંગ કામનું રૂ. 6.33 કરોડના કાર્યનું ખાતમુર્હુત દાંતા તાલુકામાં માર્ગ સુધારણા: દાંતા તાલુકાના મોટાસડા- નાગેલ-સેબલીયા રસ્તાના રીસરફેસીંગનું રૂ. 18 કરોડના કાર્યનું ખાતમુર્હુત તથા કણબીયાવાસ-ખાઈવાડ રસ્તાના રીસરફેસીંગમાટે રૂ. 12.50 કરોડના કાર્યનું ખાતમુર્હુત પાલનપુર ગ્રામ્ય વિસ્તારમાં નવા રસ્તા: વેડંચા ગામના ગઢ ચડોતર રોડથી સવાયપુરા સુધીનો રોડનું રૂ. 3.10 કરોડના કાર્યનું ખાતમુર્હુત તથા સલ્લા ગામે રામદેવપીર મંદિરથી દલવાડા રોડ સુધી 3.10 કરોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
દિવ્યાંગોએ 4G ફોન નકાર્યા, 5Gની માંગ ઉઠી:સહાય યોજનામાં ગેરરીતિના આક્ષેપ, ઉપરી કચેરીમાં રજૂઆત કરાઈ
ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ અપાયેલા મોબાઈલ ફોનને લઈને અસંતોષ જોવા મળ્યો છે. દિવ્યાંગ અરજદારોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરીને સરકાર દ્વારા અપાયેલા 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અરજદારોના મતે, તેમને અપાયેલા લાવા કંપનીના 4G ફોન ટેકનિકલી નબળા છે. ખાસ કરીને TalkBack જેવી સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેનો ઉપયોગ મુશ્કેલ બને છે. દિવ્યાંગોએ આક્ષેપ કર્યો છે કે સરકારે પ્રતિ સાધન રૂ. 20,000 સુધીનું બજેટ ફાળવ્યું હોવા છતાં, આધુનિક 5G સ્માર્ટફોન આપવાને બદલે ઓછી ગુણવત્તાવાળા 4G ફોન આપવામાં આવ્યા છે. આનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. દિવ્યાંગોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે, ગુણવત્તાસભર 5G મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવે અને જો ગેરરીતિ જણાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે અરજદારોની રજૂઆત ઉપરી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને જૂના ફોન પરત લઈને નવા ફોન આપવામાં આવશે.
વડોદરાની નારી શક્તિએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર પોતાનો દબદબો સાબિત કર્યો છે. તામિલનાડુમાં તાજેતરમાં 24 થી 29 માર્ચ દરમિયાન યોજાયેલી ‘વુમેન્સ ખેલો ઈન્ડિયા નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ’ 2026માં વડોદરાની આઠ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 6 ખેલાડીઓએ મેડલ જીતીને વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. કડક સ્પર્ધા બાદ મેળવી સફળતા યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા ભારતીય રમતગમત દ્વારા આયોજિત આ સ્પર્ધા 150 શહેરોમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે યોજાઈ હતી. WAKO ઈન્ડિયા કિકબોક્સિંગ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ ઝોનલ લીગ્સમાં કડક પસંદગી પ્રક્રિયા બાદ ખેલાડીઓ નેશનલ ફાઇનલ્સ સુધી પહોંચ્યા હતા. વડોદરાની ટીમે આ અસાધારણ પ્રદર્શનમાં 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવીને મેદાન માર્યું છે. સુવર્ણ અને રજત પદક વિજેતાઓ ઝળહળતી સફળતા મેળવનાર ગોલ્ડ મેડાલિસ્ટમાં ખુશી પંચાલ, પાવની દાયાલ, કાવ્યા જાડેજા અને દિનકલ ગોરખાનો સમાવેશ થાય છે. જ્યારે મનસ્વી સાલુજા અને ઈશિતા ગાંધીએ સિલ્વર મેડલ જીતીને શહેરની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. આ સિવાય, વડોદરાના આકાશ ચાવને આ ઇવેન્ટમાં રેફરી તરીકે પસંદગી પામી વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તાલીમ અને પ્રોત્સાહન આ સફળતા પાછળ કોચ રાવી વાંઝારા અને આદિત્ય પરમારની સખત તાલીમ તથા કોચ દિયા ત્રિવેદીનું સચોટ માર્ગદર્શન મુખ્ય રહ્યું છે. કિકબોક્સિંગ એસોસિએશનના પ્રમુખ અને SFCના સ્થાપક સિદ્ધાર્થ ભાલેગરે ટીમની કામગીરીને બિરદાવી હતી. વિજેતા ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
ખંભાળિયા શહેરમાં ગઈકાલે બાઈક અડકવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ગંભીર બનાવમાં પરિણમી હતી. આ ઘટનામાં દીપક નામના વ્યક્તિએ એક મુસ્લિમ શખ્સ પર હુમલો કર્યો હતો અને તેની પાસેથી સોનાનો સામાન ઝૂંટવી લીધાનો આક્ષેપ છે. આ બનાવ બાદ આરોપી દીપક પરપ્રાંતિય અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પોતાના 8-10 કાર્યકરો સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ સાથે ઈસુદાન ગઢવી અને તેમના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જેમાં DYSP, LCB અને SOGની ટીમનો પણ સમાવેશ થાય છે, તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કાર્યવાહી કરતા ઈસુદાન ગઢવી સહિત 10થી 12 લોકોને ડિટેઇન કર્યા હતા. આ ઉપરાંત, ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ખંભાળિયા શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આ બનાવને પગલે શહેરમાં કાયદો-વ્યવસ્થા અંગે ચિંતા અને રાજકીય ગરમાવો બંને વધ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
વડોદરા શહેરના જેતલપુર બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીના કિનારે જાડી જાખરામાં બપોરના આરસામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં ગરમીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પૂર્વ કાઉન્સિલર પસાર થતા હતા અને આગ જોઈવડોદરા શહેરના પૂર્વ કાઉન્સિલર જાગૃતિ કાકા જેતલપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેઓએ ધુમાડાના ગોટે ગોટા જોયા હતા. તેઓએ તપાસ કરતા ઝાડી ઝાંખરામાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથીવિશ્વામિત્રી નદીના કિનારે આ આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળી શક્યું નથી પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ આ વિસ્તારમાં ગયું હોય અને કોઈ તણખલાના કારણે આગ લાગી હોય શકે છે. જો કે હાલ આગના કારણે ધુમાડાના ગોટા દૂર સુધી દેખાતા હતા. અહીં અનેક મગરોના વસવાટજેતલપુર નજીક વિશ્વામિત્રી નદીના કિનારે અનેક મગર વસવાટ કરે છે. સવારના સમયે તેઓ સનબાથ લેવા માટે કિનારા ઉપર આવતા હોય છે. અહીં અનેક પશુઓ પણ ચારણ કરવા માટે આવે છે ત્યારે જો આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો પશુઓને પણ નુકસાન પહોચવાની શક્યતા હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં અટલ કલામ સેન્ટર પાસે ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. જ્યાં લેબ બનાવવા માટે હાઈટ ઓછી પડતી હોવાથી નવી બિલ્ડિંગમાં તોડફોડ કરવામાં આવતી હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. જેને લઈને NSUIના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિની ઓફિસમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પહેલા બિલ્ડીંગ પછી બેઝમેન્ટ બનાવતા હોવાના પોસ્ટર સાથે NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ વિરુદ્ધ ઉગ્ર નારા લગાવ્યા હતા. જો કે રિસર્ચ પાર્કમાં કરાયેલ તોડફોડથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના હોવાનો કુલપતિએ દાવો કર્યો છે. તેમજ બિલ્ડીંગ પૂર્વ કુલપતિના સમયમાં બન્યું હોવાથી મારી જવાબદારી ન હોવાનું કહી લૂલો બચાવ કર્યો હતો. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ બન્યા બાદ પણ ગંભીર બેદરકારીનો આક્ષેપધ્રુવ કમલ બિલ્ડિંગમાં લેબ બનાવવા માટે તોડફોડ કરવામાં આવતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ NSUIએ આક્ષેપ કર્યો છે કે, બિલ્ડિંગ બન્યા બાદ ખાડો ખોદીને લેબ બનાવવા હાઈટ વધારવામાં આવી રહી છે. જે માટે કરોડો રૂપિયાના પૈસાનો વેડફાડ થઈ રહ્યો છે. બિલ્ડીંગ બનતા સમયે લેબ બનાવવા માટેની હાઈટનું ધ્યાન ન રાખતા કરોડો રૂપિયાનું બિલ્ડિંગ બન્યા બાદ પણ ગંભીર બેદરકારી દાખવી હોવાનો NSUIએ દાવો કર્યો છે. જેને લઈને કુલપતિ અને રજીસ્ટ્રાર એસી ઓફિસમાંથી બહાર નીકળો તેવા પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે તેની સામે કાર્યવાહી કરવાની માગ સાથે કુલપતિની ઓફિસમાં હોબાળો પણ કર્યો હતો. પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીજો કે કુલપતિની ઓફિસમાં ઘૂસવા જતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જે અધિકારીઓએ બિલ્ડીંગ બનાવતા સમયે બેદરકારી દાખવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી NSUIના કાર્યકર્તાઓને વિરોધ કરી કુલપતિ પાસે માગ કરી હતી. તેમજ સ્લેબ તોડવાના કારણે બિલ્ડીંગની ઉંમર અડધી થઈ ગઈ હોવાનો પણ NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને અસર થાય એવી તોડફોડ ન થઈ હોવાનો દાવો ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ પાર્કમાં કરાયેલી તોડફોડથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના હોવાનો કુલપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને બે સ્પાનને તોડી નાખવાનું સમાન્ય લાગુ રહ્યું છે. બે સ્પાન અને ભોંય તળિયું તોડાયા હોવા છતાં સ્ટ્રક્ચરને અસર નહીં થવાનો દાવો કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ લૂલો બચાવ કરતા કહ્યું કે, બિલ્ડિંગની ડિઝાઇન અને કામની શરૂઆત પૂર્વ કુલપતિના સમયે થઈ હતી જેથી તેની કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને અસર થાય એવી તોડફોડ નથી થઈ હોવાનો દાવો પણ કુલપતિએ કર્યો છે. 'બિલ્ડીંગ બન્યા બાદ પીલ્લર તોડીને બિલ્ડિંગનું આયુષ્ય ઘટાડી દીધું'NSUIના અમદાવાદ શહેર પ્રમુખ ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં લેબ ભણાવવા માટે હાઈટ 21 ફૂટના બદલે 12 ફૂટ રાખવામાં આવી હતી. જે બાદ ત્યાં તોડફોડ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. બિલ્ડીંગમાં ખોદકામ થતા જ તેનું આયુષ્ય પણ ઘટી ગયું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે યુનિવર્સિટી રમી રહી છે જેથી બિલ્ડિંગને લોક મારી દેવામાં આવી તેવી અમારી માગ છે. બિલ્ડીંગ બન્યા બાદ જે પણ લોકોએ તોડફોડ શરૂ કરી હોય તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે. બિલ્ડીંગ બન્યા બાદ પીલ્લર તોડીને બિલ્ડિંગનું આયુષ્ય ઘટાડી દેવામાં આવ્યું છે. સરકારી ગ્રાન્ટના આધારે ડિફેન્સ રિસર્ચ મંજૂર કરવામાં આવી છે: કુલપતિતોડફોડ ન કરાતી હોવાના દાવા સાથે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યારે તોડવામાં આવ્યું નથી, પરંતુ આ પ્લાનિંગ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. ડિફેન્સ રિસર્ચ સિસ્ટમની એક લેબ તૈયાર થઈ રહી છે. ડિફેન્સ એક્સપર્ટ, સ્ટ્રકચરલ એન્જિનિયર અને IIT ખડકપુર તેમજ પુણેના જે મોટી સંસ્થાઓ છે તે જોડાયેલા છે. સરકારી ગ્રાન્ટના આધારે ડિફેન્સ રિસર્ચ મંજૂર કરવામાં આવી છે. એશિયામાં સૌ પ્રથમવાર તે બનવા માટે જઈ રહી છે. જેનું કામ ઓગસ્ટ કે સપ્ટેમ્બરથી ત્યાં ચાલી રહ્યું છે. અત્યારે કોઈ નવું કામ શરૂ કરવામાં આવ્યું તેવું નથી. અત્યારે તોડીને ફરી બનાવવામાં આવી રહી છે વાત તદન ખોટી છે. 'અવાજ અંદર કે બહાર ન જાય તેવી લેબ તૈયાર કરવામાં આવશે'વધુમાં નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ડીઝાઇનનો પાર્ટ છે અને અત્યારે છેલ્લા સ્ટેજ પર કામ ચાલી રહ્યું છે. એનાકોઈક ચેમ્બર જે નોઇડામાં તૈયાર થઈ રહ્યો છે જે લાવીને ફિક્સ કરવામાં આવશે. અવાજ અંદર કે બહાર ન જાય તેવી લેબ તૈયાર કરવામાં આવશે. આપણા સૈનિકોમાં કેવા પ્રેશર હોય છે, તે પ્રેશરની આપણા શરીરની કઈ મુન્દ્રા ક્યોર કરી શકે દવા વગર તેવી રિસર્ચ તેમાં થવાની છે. જે તોડવામાં આવ્યું છે તે બિલ્ડિંગના સ્ટ્રકચરનો ભાગ નથી તેવું હું ખાતરી સાથે કહું છું. 16 ફૂટની ઊંચાઈ હતી તે નીચે વધુ 4 ફૂટની કરીને ફરી તેને સમતલ કરવામાં આવશે. જ્યાં ચેમ્બરની દીવાલો ફૂટ કરવામાં આવશે એટલે કે કોઈ ભોયરું બનતું નથી. 'પૂર્વ VCના સમયે લેબ બની હતી, કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું'બિલ્ડીંગ બની ત્યારે હું કુલપતિ નહતી જેથી જવાબદારી નહીં સ્વીકારું તેવો દાવો કરી નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આખી બિલ્ડીંગ નવી બનાવીશું તો તેનો અલગથી ખર્ચો વધારે થઈ જશે. જેટલી બિલ્ડિંગ સરકારે જે ઉદ્દેશ સાથે આપી છે તે અને ગ્રાન્ટ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. રિસર્ચ પાર્કનું કામ જ તે હોય છે કે તેમાં રિસર્ચ લેબ બની શકે. ગ્રાન્ટ જે ઉદ્દેશ સાથે આવી રહી છે તે ઉદ્દેશ સાથે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા કોઈ ક્ષતિ નહતી અને હવે પણ કોઈ ક્ષતિ થવાની નથી. ડિઝાઇનને અમે અડવાના પણ નથી. જેવી રીતે અટલ કમલ હોલ છે તેવી રીતે આ પણ એક હોલ છે જેને અમે રિસર્ચ લેબમાં ફેરવીએ છીએ. જ્યારે બિલ્ડિંગ ચાલુ થઈ ત્યારે હું કુલપતિ નહતી. જેથી તેની કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું. હજુ પણ સોફા ત્યાં છે તો હું જોવડાવી દઈશ તેની બહુ માહિતી મારી પાસે અત્યારે નથી.
મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી બે મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી કુલ રૂ. 1,13,000ની કિંમતની બે મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ, LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટે ગુનાઓ શોધવા અને અટકાવવા માટે ટીમો બનાવી હતી. આ માટે ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. પેટ્રોલીંગ દરમિયાન, LCB સ્ટાફના આ.હે.કો. મહીપાલસિંહ ઉમેદસિંહને બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ ઇસમ મોટરસાયકલ લઈને ડેભારી ગામથી વડાગામ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે સ્ટાફના માણસોએ ભેડીયા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ઇસમ મોટરસાયકલ લઈને આવતા તેને રોકવામાં આવ્યો હતો. મોટરસાયકલના કાગળો રજૂ કરવા જણાવતા તેની પાસે કોઈ કાગળ ન હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મોટરસાયકલ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં BNS-2023, કલમ 303 (2) હેઠળ ગુન્હો નોંધાયેલો હતો. વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે, તેણે અન્ય એક મોટરસાયકલ પોતાના ઘર પાસે સંતાડી રાખી હતી. પોલીસે તે મોટરસાયકલ પણ જપ્ત કરી હતી. આમ, કુલ બે મોટરસાયકલ ચોરી કે છેતરપિંડીથી મેળવેલી હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા આરોપીનું નામ હીરા લાલાભાઇ પગી છે, જે વખતપુર વાદી ફળીયું, તા. ખાનપુર, જી. મહીસાગરનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું, 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. 1 ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કે. ફૂટ થાય. જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરાયા, વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર ગ્રામિણ વિસ્તારોમાં જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે નાના ટુકડામાં જમીન વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર થશે. અગાઉ આવા વ્યવહારો ફોક ગણાતા અને દંડ વસુલાતો, હવે કોઈપણ દંડ વગર આવા વ્યવહારો નિયમિત કરવામાં આવશે. હજારો કેસો જે રેવન્યુ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ હતા તેમાંથી લોકોને રાહત મળશે. 'સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો'રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ટુકડાધારાના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેમાં વેચનાર અને ખરીદનાર બંને પક્ષો કાયદાકીય ઝંઝટમાં ફસાઈ જતા હતા. હવે આ સુધારા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારો, નગરપાલિકા, મહાનગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝને પણ લાભ મળશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ જેવી સમસ્યાઓમાંથી લોકો મુક્ત થશેલાંબા સમયથી રેકોર્ડમાં ફેરફાર ન થયેલા, કેસ પેન્ડિંગ ન હોય અને શાંતિપૂર્ણ કબજો ધરાવતા કેસોમાં હવે તરત જ નોંધ મંજૂર કરવામાં આવશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ અને વિલંબ જેવી સમસ્યાઓમાંથી લોકો મુક્ત થશે. રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા બાદ અમલમાં આવશેસરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ બંને વટહુકમ ટુકડાધારા અને 135-ડીને રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ અમલમાં આવશે. આ નિર્ણયો રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપશે અને સાથે જ ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. 135(ડી)ની નોટિસ શું છે?હકીકતમાં કોઇપણ મિલકતની ગામ નમૂના નં.6માં નોંધ પાડવી હોય તો જ 135(ડી)ની નોટિસ આપવાની હોય છે. પરંતુ 135(ડી)ની નોટિસ ખેતીની જમીનમાં આપવાની હોય છે જ્યારે બિનખેતી મિલકત હોય તો ગામ નમૂના નં.2માં નોંધ પાડવાની હોય છે. જેથી મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે તે તંત્રને ખબર પડી શકે. રસ્તાના સમારકામ અને રિસર્ફેસિંગ માટે માટે ₹3440 કરોડનો નિર્ણયજીતુ વાઘાણીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અત્યંત મહત્વની છે અને ખાસ કરીને ગામડાથી શહેર સુધી જોડતા રસ્તાઓને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં અંદાજે ₹3440 કરોડના ખર્ચે લગભગ 5700 કિમી રસ્તાઓના સમારકામ અને રિસર્ફેસિંગ માટે એકસાથે 2342 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે 33 જિલ્લાઓમાં અમલમાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડતી અગવડતાઓ દૂર કરવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યાર સુધી રિસર્ફેસિંગ માટે ચોક્કસ ધોરણ ન હોવાથી રજૂઆતોના આધારે કામ થતું હતું, પરંતુ હવે સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડાની આશાજીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, આથી રસ્તાની ગુણવત્તા જળવાશે, મુસાફરો વધુ સુરક્ષિત બનશે અને લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થશે. ડામર સપાટી, સાઈડ સોલ્ડરિંગ, માર્કિંગ, સાઇનબોર્ડ, રોડ ફર્નિચર સહિત તમામ બાબતોને એક જ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. અગાઉ 4 વર્ષની મર્યાદા હતી, હવે તેને વધારીને 7 વર્ષ કરવામાં આવી છે, જેનાથી આગામી 7થી 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.
નવસારી શહેરના ગીચ દશેરા ટેકરી વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. બાલાપીર દરગાહ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ત્રણ મકાનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ અંતે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ, દશેરા ટેકરીમાં બાલાપીર દરગાહ પાસેના એક ઘરમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. તેજ પવનના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને પાડોશમાં આવેલા અન્ય ત્રણ મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ ઘટનાને કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ત્રણ ફાયર ફાઈટર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા સતત પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, આગના કારણે મકાનોમાં રહેલી ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેનાથી મોટું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા.બ્રિજ તૂટ્યા બાદ અહીંથી રોજગારી માટે જતા લોકો માટે મોટું સંકટ ઊભું થયું હતું.બાદમાં રાજ્ય સરકારના આદેશથી અહીંયા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં હતો, ત્યારે હવે આ સ્પાનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા બ્રિજ પર આજે ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ બ્રિજ આજથી ટુ વ્હીલર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ટ્રેકટરોને પસાર કરી બ્રિજનું ટેસ્ટિંગઆજે આ ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ ટ્રેકટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા. જુના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થતા આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવા આવ્યો છે. આ બ્રિજ પર ટુ વ્હીલરો ચાલકો અને પગપાળા જતા લોકો ઉપયોગ કરી શકશે. ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે, જેના દ્વારા બ્રિજની કનેક્ટિવિટી કરી રોજગારી મેળવતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને નવા સ્પાનની કામગીરી સોંપાઈ હતીઆ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવનજાવન શરુ થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે. વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગજ્જર દ્વારા આ પ્રોજેક્ટમાં પ્રશંસનીય અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ લિંક સ્પાન લગાવવાની સમગ્ર કામગીરી માટે તેમણે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિઃશુલ્ક સેવા આપી છે. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગોને જોડીને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને કારણે બ્રિજની મજબૂતી જળવાઈ રહેશે.નવા બ્રિજની કામગીરી પર પૂરજોશમાં ચાલુબીજી તરફ, આ જૂના બ્રિજની બાજુમાં જ બની રહેલા નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નવા બ્રિજનું નિર્માણ કાર્ય પણ ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે. હાલ પૂરતું, જૂના બ્રિજ પર લિંક સ્પાન લાગી જવાથી વડોદરા અને પાદરા વચ્ચેનો સંપર્ક માર્ગ ફરી પૂર્વવત થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામમાં જોરાવરનગર પોલીસે દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 158 બોટલો જપ્ત કરી છે. આ દરોડા દરમિયાન મકાનમાલિક અને બુટલેગર કરણ રણછોડભાઈ રાઠોડ ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, કરણભાઈ રણછોડભાઈ રાઠોડના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. મકાનના દરવાજા તથા છત વગરના ખુલ્લા બાથરૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની 158 દારૂની બોટલો અને સીલબંધ ચપલાઓ મળી આવ્યા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે કરણ રણછોડભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે જોરાવરનગર પોલીસે પણ આ દિશામાં સક્રિય કાર્યવાહી કરી છે.
આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે, જેની વચ્ચે અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો સામે નાગરિકોનો રોષ સામે આવી રહ્યો છે. શહેરના સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથે બોલાચાલી થઈ હતી. પૂર્વ કોર્પોરેટર અને તેના પરિજનોએ મતદારો સાથે ઉગ્ર બોલચાલી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 5 વર્ષથી રજૂઆતો છતાં કામ ન કર્યુંનાગરિકો દ્વારા તેમના ઘરે જઈ અને કામ કરવામાં ન આવ્યું હોવાની રજૂઆત કરી હતી, જેને લઈને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોસાયટીમાં પાંચ વર્ષમાં ગટરનું એક કામ સોસાયટીમાં ન થયું હોવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. પાંચ-પાંચ વર્ષ રજૂઆતો છતાં ના કર્યું કામ જેને લઈને લોકોએ પૂર્વ કોર્પોરેટરને કામો યાદ અપાવતા બોલાચાલી અને મારામારી થઈ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદીકુમારી ચૌધરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિજનો સામે કડક કાર્યવાહીની લોકો માગ કરી રહ્યા છે. ‘હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી’સૈજપુર બોઘા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરી સાથે સ્થાનિક નાગરિકો કામ બાબતે કરી રહેલી બોલાચાલી અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સમગ્ર મામલે હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યભાસ્કર દ્વારા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરીનો સંપર્ક કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. જ્યારે તેમના પતિ સુરેશભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય તરફ હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઆજે ગુજરાત માટે દક્ષિણ પૂર્વ અને કચ્છ પાસે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઆંધી તોફાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વીજળી પડવાની શક્યાઓ છે. આગામી 2થી 3 ડિગ્રી ટેમ્પ્રેચર ઘટશે. સૌથી વધારે વિદ્યાનગર માં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ 36.7 ડિગ્રી ટેપમ્પટેચર નોંધાયું.
બે દિવસ પહેલાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે કાર્યવાહી કરતા કેટલાક લોકોને ડિટેઇન કર્યા છે. પુણા પોલીસ સ્ટેશનમાં એક અને કતારગામ પોલીસ સ્ટેશનમાં બે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જે આપ પાર્ટીના કાર્યકર્તા હોવાથી મોટી સંખ્યામાં આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા હતો. પોલીસ સ્ટેશન બહાર કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શનભાજપના પોસ્ટર લગાવવા મામલે પોલીસે ફરિયાદ નોંધી આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરતા પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા આપ પાર્ટીના કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી હતી. અમે કોઈ ડ્રગ્સની ડીલ કરવા આવ્યા નથી તેમ કહીને DCPની ઓફિસમાં ઘૂસ્યા હતા. તેઓનું કહેવું હતું કે, પોલીસે ખોટી રીતે આપ પાર્ટીના કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા છે. 'આપ'ના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે: આપ શહેર પ્રમુખઆપ પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગત દિવસોમાં શહેરમાં કેટલાક સ્થળો પર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં અનેક મુદ્દાઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી. આ પોસ્ટરો લગાડવાના કેસમાં પોલીસ દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અહીં રજૂઆત બાદ આપના કાર્યકર્તાઓ કતારગામ પોલીસ સ્ટેશને રજૂઆત માટે ગયા હતા. પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવ્યાસુરતમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવા બાબતે અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશાલ ચાવડા, કતારગામ પોલીસ સ્ટેશનમાં દેવશીભાઈ ઢેબરીયા અને ચિરાગના વડીયા અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં કિરીટ પાનસુરીયા ઉર્ફે કે.પી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ તમામ આપના કાર્યકરો છે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આવતીકાલે (2 એપ્રિલ) વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે છે. એ નિમિત્તે બાળકોના સ્વાસ્થ્યને લઈને નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય આહાર, કસરત અને હોમિયોપેથી સારવાર દ્વારા ઓટિઝમથી પીડાતા બાળકોના જીવનમાં મોટો સુધારો લાવી શકાય છે.આજે (1 એપ્રિલ) શહેરના નિષ્ણાત ડોક્ટરો rન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે,ઓટિઝમના 80 ટકા કેસ માત્ર યોગ્ય ડાયટ અને કસરત દ્વારા સારા કરી શકાય છે.ડાયટ અને વ્યક્તિગત સારવાર પ્લાન પર ભાર મૂકવો જોઈએ20 ટકા કેસોમાં મેટાબોલિક અને જીનેટિક કારણો જવાબદાર હોય છે, જ્યાં દવાઓની જરૂર પડે છે. ડો. કેતન પટેલના જણાવ્યા મુજબ, હોમિયોપેથી દ્વારા જનીનિક અસરોને 90 ટકા સુધી નાબૂદ કરી શકાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોની માર્ગદર્શિકાને બદલે ભારતે પોતાનો નવો પ્રોટોકોલ અમલી બનાવવો જોઈએ, જેમાં ડાયટ અને વ્યક્તિગત સારવાર પ્લાન પર ભાર મૂકવામાં આવે.ઓટિઝમથી પીડિત બાળકોની મદદે ડોક્ટરડોક્ટરોએ વાલીઓને અપીલ કરી છે કે જો બાળકમાં કેટલાક લક્ષણો દેખાય, તો તુરંત નિદાન કરાવવું. જેમ કે બાળકનું સમયસર ન બોલવું અથવા નજર ન મેળવવી, એકલું રમવાનું પસંદ કરવું અથવા કારણ વગર હસવું-રડવું, વારંવાર કૂદકા મારવા કે એક જ જગ્યાએ ગોળ ફરવું. ડૉ પટેલ અને ડો જયેશ શેઠે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઓટિઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર, જીનેટિક ટેસ્ટ અને તેની સાથે જોડાયેલી થેરપી પાછળ વાર્ષિક રૂ.10 લાખ સુધીની મદદ ડોક્ટર દ્વારા કરાઇ રહી છે.વાલીઓએ ગભરાયા વિના તબીબી સલાહ લેવીઓટિઝમની સારવારમાં GFCF ડાયટ (ગ્લુટેન ફ્રી, કેસીન ફ્રી) ખૂબ મહત્વનો છે. જેમાં દૂધ અને ઘઉંની બનાવટો બંધ કરી તેના બદલે સોયા મિલ્ક, બાજરી અને લીલા શાકભાજી આપવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ સાયકલિંગ અને સ્વિમિંગ જેવી કસરતો ઝડપી સુધારો લાવે છે.વૈશ્વિક સ્તરે દર 36 માંથી 1 બાળક ઓટિઝમથી પીડિત છે, જે આંકડો કેન્સર અને ડાયાબિટીસ કરતા પણ વધારે છે. પરંતુ વહેલું નિદાન અને હોમિયોપેથી જેવી સચોટ સારવારથી આ બાળકોને સામાન્ય જીવન તરફ લાવી શકાય છે. વાલીઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃત બનીને યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના કમલમ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને મહેશ મોદી સહિત ત્રણ નિરીક્ષકો હાજર રહ્યા હતા. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 14 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડ દીઠ ચાર સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 સભ્યો ચૂંટણી લડી શકશે. પ્રથમ વખત યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રક્રિયાને કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે બિરાજતા સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના ધામમાં આવતીકાલે 2જી એપ્રિલને ચૈત્રી પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ દાદાના જન્મોત્સવને વધાવવા માટે મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ડભોડા ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવવામાં આવ્યાઆવતીકાલે ગુરુવારે હનુમાન જયંતિના દિવસે ડભોડિયા હનુમાનજી મંદિરે મહોત્સવની ભવ્ય ઉજવણી થશે ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટી પડે એવી શક્યતા છે. મંદિર પરિસરમાં ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને દર્શનાર્થીઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને તેલ અભિષેક માટે ઉમટી પડશેઆ ઉત્સવની શરૂઆત કાલે ગુરુવારે વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતીથી થશે, જેની સાથે જ પવિત્ર મારુતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. ડભોડિયા હનુમાનજીના આ ધામમાં તેલના અભિષેકનું વિશેષ મહત્વ હોવાથી સવારે 8 કલાકે તેલના અભિષેકનો સિલસિલો શરૂ થશે. હાલ મંદિર પરિસરમાં 1500થી વધુ તેલના ડબ્બા શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે અને આ સંખ્યા વધીને 2500 સુધી પહોંચવાનો અંદાજ છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને તેલ અભિષેક માટે ઉમટી પડશે. જન્મોત્સવના દિવસે સવારે 9 વાગ્યે બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશેઆ ધાર્મિક વિધિઓ દરમિયાન મંદિર પરિસરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્વયંસેવકો તૈનાત રહેશે. આવતીકાલે જન્મોત્સવના દિવસે સવારે 9 કલાકે બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાશે. ત્યારબાદ 11.45 કલાકે પરંપરાગત રીતે ધ્વજારોહણ અને બપોરે 12 કલાકે હજારો ભક્તોની હાજરીમાં મહાઆરતી યોજાશે. આ પાવન પ્રસંગે 151 કિલોની બે વિશાળ કેકનું કટિંગ બપોરે 12.20 કલાકે કરવામાં આવશે. મનોરંજન અને ભક્તિના સંગમ સાથે બપોરે 1.00 વાગ્યાથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશે. દિવસભરના ઉત્સવ બાદ રાત્રે 8.30 કલાકે આકાશમાં નયનરમ્ય ફાયર શો એટલે કે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરાશેમંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે શુદ્ધ ઘીના બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ મંદિરના રસોડામાં 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1,111 કિલોગ્રામ શુદ્ધ ઘીની સુખડી તૈયાર કરવામાં આવી રહી છે. અંદાજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં વધી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને વિશાળ ભોજનશાળાને એસી બનાવવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓને હાલાકી ન ભોગવવી પડે. બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મહાપ્રસાદનું વિતરણ સતત ચાલુ રાખવામાં આવશે. અશક્ત શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચાડવા માટે મફત રિક્ષા સેવાની વ્યવસ્થાઆ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડભોડામાં પ્રવેશતા દરેક રસ્તા પર પાર્કિંગની અલાયદી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે. ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી મંદિર સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા મફત રિક્ષા સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શકે તેમ નથી તેમના માટે મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.જેથી વિદેશમાં વસતા ભક્તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉત્સવનો લાભ લઈ શકશે. સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે.
બોટાદ PI ખરાડીની દેવભૂમિ દ્વારકા બદલી:ટાઉન પોલીસ સ્ટેશનમાં વિદાય સમારોહ યોજાયો
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એસ.આર. ખરાડીની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી થતાં, બુધવાર, 01 એપ્રિલ 2026ના રોજ તેમના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. PI ખરાડીએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આશરે સાડા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી હતી. આ વિદાય સમારોહમાં પોલીસ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય સમારોહમાં PSI વી.સી. ભરવાડ, PSI પી.એ. પરમાર, હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા, ASI ધવલભાઈ પટેલ, ASI જયેશભાઈ જાખણીયા અને ASI અરવિંદભાઈ સુવેરા સહિત અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ PI ખરાડીને તેમની ભવિષ્યની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે સૌથી વધુ સમય ગુજરાતની ધરતી પર વિતાવ્યો હતો, જે દર્શાવે છે કે આ પ્રદેશ પર તેમના વિશેષ આશીર્વાદ રહ્યા છે. આ ઉદ્ગારો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજે રાજકોટ ખાતે આયોજિત એક ભવ્ય જાહેર સભામાં વ્યક્ત કર્યા હતા. 28 માર્ચ, 2026ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં સેવાકાર્યોની સુવાસસ્વામી સુહિતાનંદજીએ જણાવ્યું હતું કે વિવેકાનંદજીના આશીર્વાદને કારણે જ આજે ગુજરાતમાં રામકૃષ્ણ મઠ અને મિશનના 7 શાખા કેન્દ્રો દ્વારા અદભુત સેવાકીય પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક પ્રચારકાર્ય વેગવંતું બન્યું છે. આ પ્રસંગે રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે, 90 વર્ષની જૈફ વયે પણ સ્વામી સુહિતાનંદજી વિશ્વભરમાં ભ્રમણ કરીને જ્ઞાનની જ્યોત ફેલાવી રહ્યા છે, તેમનું સાનિધ્ય મળવું એ ગુજરાતના ભક્તો માટે સૌભાગ્યની વાત છે. નૂતન ભવનની પૂર્વભૂમિકા અને સન્માનસભા દરમિયાન ગુજરાતના વિવિધ કેન્દ્રોના અધ્યક્ષ મહારાજો દ્વારા પૂજ્ય મહારાજનું પુષ્પહારથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સ્વામી દર્પહાનંદજી મહારાજે ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ના નિર્માણની પૂર્વભૂમિકા અને તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. આ ભવનના નિર્માણમાં પાયાનું યોગદાન આપનારા શ્રેષ્ઠીઓ અને ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું પણ મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 5 નવા પુસ્તકોનું વિમોચનઆ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પુસ્તક વિમોચન રહ્યું હતું. પૂજ્ય સ્વામી સુહિતાનંદજીના વરદ હસ્તે આધ્યાત્મિક જ્ઞાન પીરસતા 5 પુસ્તકો લોકાર્પિત કરવામાં આવ્યા હતા, જેમાં ક્રોધ પર વિજય, યોગક્ષેમ, ઈશ્વરને ઉધાડી આંખે નિહાળો, મારું ભારત અમર ભારત. તું પરમહંસ બનીશ આ પુસ્તકોનો પરિચય સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભાવિકોએ સમૂહમાં ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
બોટાદ જિલ્લાના પાળીયાદ પાસે આવેલા સાયલા રોડ પર રતનપર અને છૈડા ગામ વચ્ચે એક કાર અને મોટરસાઈકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. બંને રોડ પર પટાકાયા હતા. અકસ્માત કેવી રીતે બન્યો?પ્રાપ્ત માહિતી અનુસાર, એક દંપતી પોતાની બાઈક પર જઈ રહ્યું હતું. પાળીયાદથી સાયલા તરફ જતા માર્ગ પર મોટા છૈડા ગામ નજીક એક કાર (જીજે 33 કે 2324) અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર પતિ-પત્નીએ ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. કારનો બોનેટ તરફનો એક ભાગ તૂટી ગયો હતો. જ્યારે બાઈક રોડ પરથી દૂર ફેંકાયું હતું. મૃતકોની ઓળખઅકસ્માતમાં જીવ ગુમાવનાર દંપતીની ઓળખ થઈ છે: મનસુખ પાચા મીઠાપરા (રહે. પાણવી ગામ) ગીતા મનસુખ મીઠાપરા (રહે. પાણવી ગામ) પરિવારજનો દોડી ગયાઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના ભાઈ શામજી મીઠાપરાએ આ અંગે વિગતો આપી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ ઘટનાને પગલે પાણવી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તંત્ર દ્વારા તમામ સપ્લાય ચેઇનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ (LPG), પાઇપ્ડ નેચરલ ગેસ (PNG), ખાદ્ય અનાજ તેમજ ખેતી માટે જરૂરી ખાતરનો પૂરતો જથ્થો ડેપો અને વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ છે. કોઈ પણ વસ્તુની અછત સર્જાય તેવી સ્થિતિ નથી. વિવિધ ટીમો દ્વારા બજારમાં ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અને તેના ભાવો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ, જિલ્લા વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ અંગે નાગરિકોને સાવધ કર્યા છે. તંત્રએ અપીલ કરી છે કે વોટ્સએપ, ફેસબુક કે અન્ય માધ્યમો પર આવતા બિનસત્તાવાર મેસેજ કે 'ફેક ન્યૂઝ' પર વિશ્વાસ ન કરવો. અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાય છે અને તેઓ 'પેનિક બાઇંગ' કરવા લાગે છે, જે બજારની વ્યવસ્થા ખોરવે છે. નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ વિવેકપૂર્ણ ખરીદી કરવા વિનંતી કરાઈ છે. વહીવટી તંત્રએ અનૈતિક તત્વો અને વેપારીઓને કડક ચેતવણી આપી છે. જો કોઈ વેપારી કે એકમ દ્વારા વર્તમાન સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળાબજારી અથવા નિયત એમ.આર.પી. (MRP) કરતા વધુ કિંમત વસૂલવામાં આવશે, તો તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પુરવઠા વિભાગને વિશેષ તપાસ કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. નાગરિકોને કોઈ મુશ્કેલી જણાય અથવા કોઈ વેપારી ગેરરીતિ કરતો હોવાનું માલૂમ પડે, તો તેની જાણ કરવા માટે જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં વ્યવસાય ક્ષેત્રે પોતાની આગવી સૂઝબૂઝ અને મહેનતથી ઓળખ પ્રસ્થાપિત કરનારી મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે PG Click દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. PG Click ના ફાઉન્ડર ટ્રે. લેખા ઘીવાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નારીશક્તિના અદભૂત કૌશલ્યના દર્શન થયા હતા. પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સહયોગ અને સ્પોન્સરશિપઆ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં શહેરની પ્રતિષ્ઠિત સંસ્થાઓનો મોટો ફાળો રહ્યો હતો. કાર્યક્રમના Title Sponsor તરીકે Kanchan Jewellers જોડાયા હતા, જ્યારે Kanshya Oil દ્વારા Powered by સપોર્ટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત PG Automation દ્વારા Special Thanks અને Pralesh Mahila Utkarsh Charitable Trust દ્વારા પણ વિશેષ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો. NGO લીડર ચેતના શાહના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું વ્યવસ્થાપન સરાહનીય રહ્યું હતું. રાજકીય અને સામાજિક મહાનુભાવોની ગરિમામય હાજરીઆ સમારોહમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા, BJP ના જનરલ સેક્રેટરી વિરલ ગિલિતવાલા અને કરશન ગોંડલિયાએ ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત ગુજરાત બાર કાઉન્સિલના પ્રેસિડન્ટ અને જાણીતા એડ્વોકેટ પ્રિતિ જોષી તેમજ ભાજપના ભૂતપૂર્વ મીડિયા કો-કન્વીનર કલ્પેશ મહેતા પણ ખાસ હાજર રહ્યા હતા. મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણકાર્યક્રમમાં માત્ર સન્માન જ નહીં, પરંતુ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. જાણીતા RJ દેવાંગ દેવલો એ પોતાની આગવી રમૂજી શૈલી અને હાસ્યના ફુવારા દ્વારા ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મનોરંજનના ભાગરૂપે હાઉસી ગેમનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં તમામ મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. PG Click દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો મર્યાદિત ન રહેતા, વ્યવસાયી મહિલાઓ માટે નેટવર્કિંગ અને પ્રોત્સાહનનું એક સશક્ત માધ્યમ સાબિત થયો હતો. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓએ લેખા ઘીવાળાના આ નવતર પ્રયાસની પ્રશંસા કરી હતી.

26 C