SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

આગ લાગી કે લગાવવામાં આવી?:ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર નજીક કપડાના જથ્થામાં વહેલી સવારે આગ લાગી, તપાસ કરવા પોલીસને રજૂઆત

શહેરના ગોમતીપુર વિસ્તારમાં શાકમાર્કેટ નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહારના ભાગે ફૂટપાથ પર જુના કપડા વેચીને ગુજરાત ચલાવનારા વેપારીના કપડાના જથ્થામાં આજે 8 એપ્રિલે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લગાવવામાં આવી કે લાગી હતી તે મુદ્દે અસમંજસ છે. ત્યારે આ મુદ્દે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ આવેદનપત્ર આપી તપાસની માગ કરી હતી. વહેલી સવારે કપડાના જથ્થામાં આગ લાગી મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં ચાર રસ્તા નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહાર ફૂટપાથ ઉપર કેટલાક ગરીબો કપડાનો પથારો લગાવી અને વ્યાપાર ધંધો કરે છે. ત્યારે આજે સવારે કપડાનો જથ્થો અને એક લારીમાં આગ લાગી હતી. જેથી આસપાસમાં રહેતા લોકો જાગી ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની બે ગાડી ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોનું કૃત્ય હોવાની આશંકા સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આ આગ લગાડવામાં આવી હોઈ શકે છે. એટલું જ નહીં આસપાસમાં રહેતા કોઈ વ્યક્તિઓ દ્વારા વહેલી સવારે આવી અને આગ લગાડી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો આ મુદ્દે પોલીસ તપાસ કરે તેવી પણ માગ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:57 am

પોરબંદર અકસ્માતમાં ચાર મૃતક યુવાનોના પરિવારને સહાય:મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી, પરિજનોને આર્થિક સહાય જાહેર

પોરબંદર એરપોર્ટ નજીક ગત રોજ બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર યુવાનોના નિધન થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતક યુવાનોના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. અખબારી અહેવાલો દ્વારા આ દુર્ઘટનાની જાણ થતાં પૂજ્ય મોરારીબાપુએ મૃતક યુવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે માનવતાવાદી અભિગમ દાખવીને પ્રત્યેક મૃતક યુવાનના પરિવારને ₹15,000 ની સહાય જાહેર કરી છે. કુલ ₹60,000 ની ‘હનુમંત સંવેદના’ સહાયતા રાશિ પરિવારોને મોકલવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુના આદેશ મુજબ, પોરબંદર સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આજે મૃતક યુવાનોના ઘરે રૂબરૂ જઈને આ સહાય રાશિ અર્પણ કરવામાં આવી રહી છે. બાપુએ શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવા સંદેશ પાઠવ્યો છે. પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, 'આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનોના નિર્વાણ માટે હું ભગવાન શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. પરમાત્મા તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી મંગલ કામના.' આમ, પૂજ્ય મોરારીબાપુએ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સામાજિક જવાબદારી નિભાવીને પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:55 am

કોંગ્રેસના 3 ઉમેદવારના નામ AMCની મતદાર યાદીમાંથી ગાયબ:નવરંગપુરા, ઈન્દ્રપુરી અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ફોર્મ નહીં ભરી શકે, નવા નામ જાહેર થશે

ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને રાત્રે 2-2 વાગ્યા સુધી બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની સાથે બેઠક મળી હતી. જેમાં નિર્વિવાદીત ઉમેદવારના નામ પર ચર્ચા કરી તેની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. મોટાભાગે આ યાદીમાં એવી બેઠક અને ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેને લઈને કોઈ વિવાદ સર્જાય નહીં, પરંતુ તેમ છતાં એક-બે બેઠક પર સ્થાનિક કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કરી ઉમેદવાર બદલવા માગ કરી હતી. જેને શાંત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યાં બીજા ઉમેદવારો ફોર્મ પણ નહીં ભરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 3 ઉમેદવાર ફોર્મ જ નહીં ભરી શકેકોંગ્રેસની પહેલી યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 32 વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 12 વોર્ડમાં તો આખી પેનલ જાહેર કરવામાં આવી છે તો કુલ 92 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે જેમાંથી 3 જેટલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ જ નહીં ભરી શકે. ટિકિટ મળ્યા બાદ ઉમેદવારોના ખુશી જોવા મળી હતી. પરંતુ જ્યારે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કર્યું ત્યારે નવી મતદાર યાદી જોઈને ઉમેદવારો પણ ચોંકી ગયા હતા. 3 ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ3 જેટલા ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. નવરંગપુરા વોર્ડના ઉમેદવાર ભાવનાબેન જાડેજા, ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવાર ધનીબેન જાડેજા અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જરનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. ઉમેદવારની યાદી જાહેર થયા બાદ ઉમેદવારોને ખબર પડી કે તેમનું નામ મતદાર યાદી નથી. ઉમેદવારોએ 2 દિવસ સુધી મતદાર યાદીમાં નામ એડ કરવા ધક્કા ખાધા છે, પરંતુ હવે આ ત્રણેય ઉમેદવારોના નામ મતદાર યાદીમાં એડ થઈ શકે તેવું નથી. જેથી ટિકિટ મળવા છતાં ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે એટલું જ નહીં મતદાન પણ નહીં કરી શકે. જેથી કોંગ્રેસે હવે આ ત્રણેય વોર્ડમાં નવા ઉમેદવારના નામની જાહેરાત કરવી પડશે. ‘વિધાનસભાની યાદીમાં નામ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં નથી’નવરંગપુરા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન જાડેજાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની યાદીમાં નામ છે, ભાગ નંબર સીરિયલ નંબર અને પોલીસ સ્ટેશનનું નામ પણ આવી ગયું છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાં મારું નામ નથી. ચૂંટણી લડવા માટે તમામ તૈયારીઓ કરી દીધી હતી. દરેક વોર્ડમાં જન સંપર્ક પણ શરૂ કરી દીધો હતો. તેમ જ પાર્ટીએ ટિકિટ આપતા ખુશી પણ હતી, પરંતુ હવે મતદાર યાદીમાં નામ ન હોવાથી ઘણું દુઃખ થઈ રહ્યું છે. કોર્ટમાં જવાની તૈયારીત્રણ વોર્ડમાં મારું નામ સમિતિએ મૂક્યું હતું. વિધાનસભાની મતદાર યાદીમાં નામ આવી ગયું હોવાથી એવું લાગ્યું હતું કે કોર્પોરેશનની મતદાર યાદીમાં પણ નામ આવી જશે. ત્રણ વોર્ડની યાદીમાં બુથ પ્રમુખો સાથે નામ ચેક કર્યું, પરંતુ ક્યાંય પણ નામ જોવા મળ્યું નથી. જ્યારે નવા વાડજમાં આવેલા મહેસૂલ ભવનમાં ગઈ ત્યારે ત્યાંના અધિકારીઓએ એવું કહ્યું હતું કે હવે આમાં અમે બીજી કોઈ મદદ નહીં કરી શકીએ. જેથી હવે વકીલોની સલાહ મુજબ કોર્ટમાં જવાની પણ તૈયારી કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:51 am

મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી બે શખ્સ ફરાર, CCTV:સોસાયટીમાં વોકિંગ કરતા હતાને ગઠીયાઓ બાઈક પર ત્રાટક્યા, TB હોસ્પિટલ રોડ પરની ઘટના

શહેરના ટી.બી. હોસ્પિટલ રોડ પર આવેલી ONGC સોસાયટીમાં રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા એક મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ સોનાના મંગળસૂત્રની ચીલઝડપ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે. વોકિંગ કરતા હતાને મંગળસૂત્ર ખેંચી લીધું ટી. બી.હોસ્પિટલ પાસે ઓ.એન.જી.સી. સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતા સ્વીટીબેન પટેલ 6 એપ્રિલ 2026ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યે પોતાની સોસાયટીની ગલી પાસે વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક પર બે અજાણ્યા શખ્સ તેમની નજીક આવ્યા હતા. કંઈ પણ બોલ્યા વગર પાછળ બેસેલા શખ્સે સ્વીટીબેનના ગળામાં પહેરેલ હીરાજડિત સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. બાઈક પર બંન્ને શખ્સ ભાગી છૂટ્યા મહિલાએ બૂમાબૂમ કરતા બંને ગઠીયાઓ બાઈક લઈને આશ્રય હોટલ તરફ ભાગી છૂટ્યા હતા. ભોગ બનનાર મહિલાના જણાવ્યા અનુસાર બાઈક ચાલકે કાળા રંગનું માસ્ક અને ક્રીમ કલરનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેસેલા શખ્સના ખભા પર થેલો અને હાથમાં હેલ્મેટ હતું. બંનેની ઉંમર આશરે 30 થી 35 વર્ષની જણાઈ હતી. ઘટના બાદ મહિલાએ તુરંત જ GIDCમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા તેમના પતિને જાણ કરી હતી. દંપતીએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ રાત્રિના સમયે સફળતા મળી ન હતી. અંતે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને ગઠીયાઓને પકડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:37 am

સંખેડા પોલીસે XUVમાંથી ₹7.19 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:લોટીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી ગાડી મૂકી ચાલક ફરાર થયો

છોટા ઉદેપુર જિલ્લાના લોટીયા ચોકડી પાસેથી સંખેડા પોલીસે XUV ગાડીમાંથી રૂ. 7,19,797/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. હાલમાં ચૂંટણીને કારણે ઠેર ઠેર વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન સંખેડા પોલીસ ગોલા ગામડી ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે બોડેલી તરફથી ગોળ ગામડી તરફ XUV ગાડી નંબર GJ 01 HZ 7135 માં વિદેશી દારૂ ભરીને આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા, તેના ચાલકે દૂરથી પોલીસને જોઈને ગાડી લોટીયા તરફ વાળીને ભગાવી હતી. સંખેડા પોલીસે તેનો પીછો કરતા, ચાલક આગળ જઈને ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1535 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,19,797/- થાય છે. પોલીસે વિદેશી દારૂ અને XUV ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:33 am

પંચમહાલમાં વરસાદમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2નાં મોત:શહેરાના છોગાળામાં પૌત્ર અને દાદી દટાયા, પરદાદા ઈજાગ્રસ્ત; મૃતદેહો રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે વિનાશ વેર્યો હતો. તાલુકાના છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જવાથી દાદી અને પૌત્રના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દીવાલે બેના જીવ લીધામળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં એક મકાનની દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલની બાજુમાં જ હાજર 42 વર્ષીય સુકલીબેન જસવંતભાઈ વણજારા અને 7 વર્ષનો પૌત્ર ધાર્મિક સુરેશભાઈ વણઝારા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બચાવ કામગીરી અને જાનહાનિઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડી બંનેને બહાર કાઢ્યા હતા. જોકે, 7 વર્ષના ધાર્મિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સુકલીબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં જ તેમણે દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર મૃતક મહિલાના સસરા ખતું વણઝારાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ કાર્યવાહીબંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 2 સભ્યોના અકાળે અવસાનથી છોગાળા પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:21 am

મુળચંદ ગામના ગ્રામજનોની ભાજપ પાસે માંગ:સ્થાનિક ચૂંટણીમાં ગામના 2 ઉમેદવારોને ટિકિટ આપો, નહીંતર વિરોધ

સુરેન્દ્રનગર: વઢવાણના મુળચંદ ગામના ગ્રામજનોએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ગામના બે ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોએ એક બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટી સમક્ષ આ રજૂઆત કરી હતી. મુળચંદ ગામ 3500થી વધુ વસ્તી ધરાવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામનું પ્રતિનિધિત્વ કરવા માટે બે ઉમેદવારોને ટિકિટ મળે તેવી તેમની અપેક્ષા છે. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ ગામની મુલાકાત લીધી હોવા છતાં, તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને ભવિષ્યમાં પણ ભાજપમાં જ રહેવા માંગે છે. તેથી, તેઓ ભાજપ પાસેથી જ સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખે છે. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે, જેમાં મુળચંદ ગામ સહિત આસપાસના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. દરેક વોર્ડમાં 30થી વધુ ઉમેદવારોએ ટિકિટ માંગી છે અને કુલ 500થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપ 13 વોર્ડમાં કયા 52 ઉમેદવારોની પસંદગી કરશે તેના પર સૌની નજર છે. આ સંજોગોમાં, જો ભાજપ પક્ષ મુળચંદ ગામના ઉમેદવારોની પસંદગી નહીં કરે, તો ગામમાં વિરોધનો વંટોળ સર્જાઈ શકે છે અને નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:18 am

અમરેલીમાં એકપછી એક 8 ભૂકંપના આંચકા:સવારે 4:15થી 8:57 વાગ્યા સુધીમાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો; સિસ્મોલોજી વિભાગની સતર્ક રહેવા અપીલ

અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા નોંધાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક ગામોની ધરા ધ્રુજીસવારના સમયગાળામાં વિવિધ તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા. સવારે 4:15 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, ત્યારબાદ 4:16 વાગ્યે 2.3, 4:24 વાગ્યે 1.0, 4:57 વાગ્યે 1.4, 7:00 વાગ્યે 2.2, 7:15 વાગ્યે 3.5 (લગભગ), 7:51 વાગ્યે 1.5 અને 8:57 વાગ્યે 1.5 તીવ્રતાના આંચકા નોંધાયા હતા.આ આંચકાઓની અસર મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સહિતના ગામોમાં અનુભવાઈ હતી. કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂરભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ આપી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, છતાં સતત આંચકાઓને કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:54 am

બાંધકામ સાઈટ પરથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:100થી વધુ CCTV ખંગાળીને પોલીસે ત્રણને દબોચ્યા, સાંતેજમાં સુપરસીટી લક્ઝરીયા-3 સાઈટ પરથી કરી હતી ચોરી

ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં બાંધકામ સાઇટ પરથી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાત્રિના અંધકારમાં નિર્માણધીન સાઇટ પર ત્રાટકી આ ગેંગ 1,530 મીટર લાંબા વાયર કાપીને ચોરી કરી પલાયન થઈ હતી. જેમની પાસેથી કુલ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પરથી કેબલની કરી હતી ચોરીસાંતેજ ગામની સીમમાં સુપરસીટી લકઝરીયા-3 નામની સાઇટ પર 31 માર્ચથી 1 એપ્રિલના સમયે કેબલ ચોરી થયાની ઘટના સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, અજાણ્યા તસ્કરોએ અલગ અલગ સાઈઝના 1.81 લાખથી વધુની કિંમતના કેબલની ચોરી કરી છે.જે મામલે કંપનીએ સ્ટોક અને કેબલની લંબાઈની ખરાઈ કર્યા બાદ 5 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં 100થી વધુ CCTV ફૂટેજની તપાસફરિયાદના આધારે સાંતેજ પોલીસ મથકના PI એસ. આર. મૂછાળની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા 100થી વધુ CCTV કેમેરાની ચકાસણી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે સાંતેજ ગામની સીમમાં ટીપી રોડ પર વોચ ગોઠવી ચોરીના કોપર વાયર સાથે જઈ રહેલી રિક્ષાને અટકાવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી હત્યા, લૂંટના ગુનામાં પણ સંડોવણીજે આરોપીઓની પૂછપરછ દરમિયાન સુપરસીટી લક્ઝરીયા-3ની સાઇટ પરથી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે PI મૂછાળે કહ્યું કે, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, ​કરણ પટણી અને ​રણજીત ઉર્ફે સાવલો પટણીને રુપિયા 63 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ​આ તમામ આરોપીઓ હાલ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના રહેવાસી છે. મુખ્ય આરોપી શૈલેષ ઉર્ફે શેરડી પટણી અગાઉ પણ હત્યા, લૂંટ અને ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેની વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:47 am

6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો:માથા-મોઢા પર ગંભીર ઇજા, તંત્ર સામે કાર્યવાહીની માંગ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો છે. આજે ગામમાં એક 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. શ્વાને બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર બચકા ભર્યા હતા, જેના કારણે બાળકને ઇજાઓ થઈ હતી. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. ગંભીર ઇજાઓ થતાં બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ હુમલાને લઈને બાળકના પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં રખડતા શ્વાનોનો પ્રશ્ન લાંબા સમયથી વણઉકેલ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની અને રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:10 am

લખતર મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ:નાયબ મામલતદાર અને પટ્ટાવાળો ₹20 હજાર લેતા ઝડપાયા, ખેત જમીન નોંધ પ્રમાણિત કરવા લાંચ માગી

સુરેન્દ્રનગર એ.સી.બી.એ લખતર મામલતદાર કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમાર (ઉ.વ. 40, રહે. પાટડી) અને આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ વાધુભા ઝાલા (ઉ.વ. 37, રહે. લખતર)નો સમાવેશ થાય છે. આ કેસમાં ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની નોંધ પ્રમાણિત કરી આપવા માટે આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતમાં, આરોપી કનકસિંહ ઝાલાએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમની નોંધ પ્રમાણિત કરવા માટે રૂ. 50,000 આપવા પડશે, જે 'સર્કલ સાહેબ' દ્વારા માંગવામાં આવ્યા છે. વાતચીતના અંતે, લાંચની રકમ રૂ. 30,000 નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપીઓએ રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી. નાયબ મામલતદાર જયદિપસિંહ પરમારે ફરિયાદીને લાંચના નાણાં આરોપી કનકસિંહ ઝાલાને આપવા જણાવ્યું હતું. કનકસિંહ ઝાલાએ ફરિયાદી પાસેથી રૂ. 20,000ની ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારતા જ બંને આરોપીઓ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. આરોપીઓએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી. આ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પટેલ અને સુરેન્દ્રનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા, એ.સી.બી. રાજકોટ એકમ, અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા, એ.સી.બી. રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:01 am

ભાજપ સ્થાપના દિવસે 'ઘર-ઘર સંપર્ક અભિયાન':સુરેન્દ્રનગરના વોર્ડ 4 અને 7 માં પત્રિકા વિતરણ, લોકસંપર્ક

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપના આદેશ મુજબ રાજ્યભરમાં “ઘર-ઘર સંપર્ક અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં વિવિધ વોર્ડમાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ પરિવારો સાથે સીધો સંપર્ક કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની વિચારધારા અને સેવાકીય પ્રવૃત્તિઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો. સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 4 માં જીગ્નાબેન પંડ્યા, ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને મિલિન્દ કોઠારી દ્વારા સઘન સંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ ઘરે-ઘરે જઈને સરકારની સિદ્ધિઓ અને પક્ષના આગામી લક્ષ્યો વિશે પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ પણ આ અભિયાનને સારો પ્રતિસાદ આપ્યો હતો. વોર્ડ નંબર 7 ના બુથ નંબર ૨૧૫ માં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં વોર્ડ પ્રભારી શિલ્પાબેન રાઠોડ, ઉપપ્રમુખ શ્રી વિક્રમસિંહ મોરી, રવિરાજસિંહ જાડેજા, વિરલભાઈ શુકલ અને ડો. હેતલબેન જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ સદસ્ય પિન્ટુબેન અસાણીયા, પારુલબેન શુકલ, નિતાબેન જોષી અને સ્મિતાબેન વોરાએ પણ બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતો દ્વારા સેવા અને સંગઠનના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:54 am

ભરૂચમાં ઇન્ડિયન રોક પાયથોનનું રેસ્ક્યૂ:મકતમપુર વિસ્તારમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો અજગર પકડ્યો, સલામત સ્થળે છોડશે

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારની એકદમ નજીક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક સર્પમિત્રોની સતર્કતાને કારણે અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અજગર દેખાતા વનવિભાગને જાણ કરાઈમકતમપુર વિસ્તારમાં અચાનક અજગર દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમના રમેશ દવે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા RFO એ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ રેસ્ક્યૂ સફળઅજગરને જોવા માટે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ભીડ અને અજગરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. અજગર કદમાં મોટો હોવાથી તેને કાબૂમાં લેવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંતે અજગરને સહીસલામત પકડી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કુદરતી આવાસમાં મુક્ત કરાશેરેસ્ક્યૂ કરવામાં આવેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અજગરના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગની અપીલ કોઈપણ જંગલી જાનવર કે સાપ દેખાય ત્યારે તેની છેડતી કરવી નહીં. પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવું અને તાત્કાલિક વન વિભાગ અથવા નિષ્ણાત સર્પમિત્રોનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:47 am

અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે:12 વોર્ડમાં આખી પેનલ બદલાશે; કોણ કપાશે, રિપીટ થશે, જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત ભાજપ મહાનગરપાલિકાની બેઠકો પર આજે 8 એપ્રિલ અને આવતીકાલે 9 એપ્રિલે ચર્ચા કરશે. રાજ્ય ચૂંટણી પંચની નવી મતદાર યાદી, અનામત રોટેશન, જાતિગત સમીકરણ, ભાજપના નિયમો અને પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલી નીતિ મુજબ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકામાં 140 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. 70 ટકાથી વધારે કોર્પોરેટરોને ઘરભેગા કરાશે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. SIRના કારણે મતદારો ઓછા વધ્યા છે અને જાતિગત સમીકરણ પણ બદલાયું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ કારણોસર કયા કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે, કોને ટિકિટ મળી શકે અને ફરીથી રિપીટ થઈ શકે તેવા ઉમેદવારોનું દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કર્યું છે. વિવાદિત પૂર્વ કોર્પોરેટરો પર કાતર ફેરવાશેઅમદાવાદ મહાનગરપાલિકામાં અનેક નાના-મોટા વિવાદોમાં ભાજપના કોર્પોરેટરો આવી ચૂક્યા છે જેમાં સૌપ્રથમ ખોખરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચેતન પરમાર જેઓ સતત વિદેશમાં જ રહેતા હતા. ત્રણ મહિનાની સામાન્ય સભાની રજા લઇ અને ચોથી સામાન્ય સભામાં પોતાનું ડિસ્ક્વોલિફિકેશન ન થાય તેના માટે સહી કરવા માટે આવી જતા હતા. આ સમગ્ર મામલો ઉચ્ચ મોવડી મંડળ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ વચ્ચેથી તેમનું રાજીનામું લેવામાં આવ્યું નહોતું. રામોલ હાથીજણ વોર્ડના સિદ્ધાર્થ પરમાર જેમની વિરુદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નવરંગપુરા વોર્ડના કોર્પોરેટર નીરવ કવિની ધર્મ-જાતિને લઈને વિવાદ થયો હતો જ્યારે નવા વાડજ વોર્ડમાં પણ લલીતા મકવાણાએ ખોટું એફિડેવીટ રજૂ કર્યું હોવાને લઈને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી. વિરાટનગર વોર્ડના સંગીતા કોરાટ, સુરેશ ખાચર બાંધકામ મામલે વિવાદમાં આવ્યા હતા અને તેમની ફરિયાદો પણ ઉપર સુધી કરવામાં આવી હતી. 12 વોર્ડમાં પેનલ બદલાશે, બાકીના વોર્ડમાં 2 ઉમેદવાર રિપીટઅમદાવાદ મહાનગરપાલિકામાં અનામત રોટેશન, જાતિગત સમીકરણ, કોંગ્રેસના પ્રભુત્વવાળી સીટ, વિવાદોથી ઘેરાયલો વોર્ડ હોય એવા તમામ વોર્ડમાં ચારેય ઉમેદવારની આખી નવી પેનલ ઉતારવામાં આવશે. જેમાં ઘાટલોડીયા, નવા વાડજ, કુબેરનગર, શાહપુર, ઠક્કરબાપાનગર, સૈજપુર બોઘા, દરિયાપુર, સરસપુર-રખીયાલ, જમાલપુર, ગોમતીપુર, મકતમપુરા, બહેરામપુરા સહિતના કુલ 12 વોર્ડમાં ભાજપ આખી નવી પેનલ ઉતારશે. બાકીના તમામ વોર્ડમાં વધુમાં વધુ બે ઉમેદવારોને રિપીટ કરાશે. કમિટીમાં એક્ટિવ હોદ્દેદારોને રિપીટ કરાશેરાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અલગ અલગ હોદ્દેદારોને પણ ફરીથી રિપીટ કરવામાં આવી શકે છે. મહાનગરપાલિકામાં ખૂબ જ નિષ્ક્રિય હોય એવી કમિટીઓને ફરીથી જાગૃત કરી છે અને કામગીરી કરી છે. જેમાં રેવન્યૂ કમિટીમાં ચેરમેન રહી ચૂકેલા જૈનિક વકીલ અને પ્રદીપ દવે, લીગલ કમિટીમાં પ્રકાશ ગુર્જર, રીક્રીએશન કમિટીમાં જયેશ ત્રિવેદી અને સ્નેહાબા પરમાર, હાઉસિંગ કમિટીમાં અશ્વિન પેથાણી અને મુકેશ પટેલ સહિતના હોદ્દેદારોની પણ સારી કામગીરીને લઈને તેમને ફરીથી રિપીટ કરવામાં આવી શકે છે. આ કોર્પોરેટર કપાઈ શકે આરતી ચાવડા ગોતાહીરા પરમાર ચાંદલોડિયા ભરત પટેલ ચાંદલોડિયારાકેશ બ્રહ્મભટ્ટ ચાંદખેડાઅરુણસિંહ રાજપુત(પૂર્વદંડક) ચાંદખેડાહિરલ ભાવસાર સાબરમતી અંજુ શાહ સાબરમતી રમેશ રાણા સાબરમતી દશરથ પટેલ રાણીપ ગીતા પટેલ રાણીપ લલીતા મકવાણા નવા વાડજભાવના વાઘેલા નવા વાડજયોગેશ પટેલ નવા વાડજવિજય પંચાલ નવા વાડજભાવના પટેલ ઘાટલોડીયા મીનાક્ષી નાયક ઘાટલોડીયા જતીન પટેલ ઘાટલોડીયા પ્રવીણ પટેલ ઘાટલોડીયા નીરુ ડાભી થલતેજસમીર પટેલ થલતેજહિતેશ બારોટ થલતેજગીતા પટેલ નારણપુરાજયેશ પટેલ નારણપુરાબ્રિન્દા સુરતી નારણપુરાદીપલ પટેલ અથવા રશ્મિ ભટ્ટ સરદાર પટેલ સ્ટેડિયમમિત્તલ મકવાણા સરદારનગરસુરેશ દાનાણી સરદારનગરકંચન પંજવાણી સરદારનગર અલકા મિસ્ત્રી નરોડારાજેન્દ્ર સોલંકી નરોડાવૈશાલી જોશી નરોડા રેશમા કુકરાણી સૈજપુર બોઘાવિનોદાકુમારી ચૌધરી સૈજપુર બોઘામહાદેવ દેસાઈ સૈજપુર બોઘાહસમુખ પટેલ સૈજપુર બોઘા ગીતાબા ચાવડા કુબેરનગર અનુ પટેલ અસારવામેના પટણી અસારવાઓમજી પ્રજાપતિ અસારવાપ્રતિભા જૈન શાહીબાગ જાસ્મિન ભાવસાર શાહીબાગજશુભાઈ ઠાકોર શાહીબાગઆરતી પંચાલ શાહપુરરેખાબેન ચૌહાણ શાહપુરપ્રતાપ આગજા શાહપુર નીરવ કવિ નવરંગપુરાહેમંત પરમાર નવરંગપુરાદીપ્તિ અમરકોટિયા બોડકદેવવાસંતી પટેલ બોડકદેવકાંતિ પટેલ બોડકદેવઅરવિંદ પરમાર જોધપુરપ્રવિણા પટેલ જોધપુરકંચન રાદડિયા ઠક્કરબાપાનગરહર્ષા ગુર્જર ઠક્કરબાપાનગરકિરીટ પરમાર ઠક્કરબાપાનગરદીક્ષિત પટેલ ઠક્કરબાપાનગરઉષા રોહિત નિકોલબળદેવ પટેલ નિકોલસંગીતા કોરાટ વિરાટનગરબકુલા એન્જીનીયર વિરાટનગરડૉ. રણજીત વાંક વિરાટનગરસરોજ સોલંકી બાપુનગરજયશ્રી દાસરી બાપુનગર દિનેશસિંહ કુશવાહ સરસપુર-રખિયાલભાસ્કર ભટ્ટ સરસપુર-રખિયાલભારતી વાણીયા સરસપુર-રખિયાલમંજુલા ઠાકોર સરસપુર-રખિયાલઉમંગ નાયક ખાડિયાગીતા પરમાર ખાડિયાનિકી મોદી ખાડિયા જૈનિક વકીલ અથવા પ્રિતિશ મહેતા પાલડીચેતના પટેલ પાલડીસોનલ ઠાકોર વાસણા દિલીપ બગરીયા વેજલપુરકલ્પના ચાવડા વેજલપુરઅલકા શાહ સરખેજસુરેશ ખાચર સરખેજકરણ ભટ્ટ મણીનગરશીતલ ડાગા મણીનગરચંદ્રકાંત ચૌહાણ મણીનગરજશી પરમાર અમરાઈવાડીઓમ પ્રકાશ બાગડી અમરાઈવાડી રાજેશ દવે ઓઢવમીનુ ઠાકુર ઓઢવઅનિરુદ્ધસિંહ ઝાલા અથવા પરેશ પટેલ વસ્ત્રાલગીતાબેન પ્રજાપતિ વસ્ત્રાલચંદ્રિકા પટેલ વસ્ત્રાલઅલકા પંચાલ ઇન્દ્રપુરીચંદ્રકાંત પ્રજાપતિ ઇન્દ્રપુરીગૌરાંગ પ્રજાપતિ ભાઈપુરા હાટકેશ્વરમીરા રાજપૂત ભાઈપુરા હાટકેશ્વરવાસંતી પટેલ ભાઈપુરા હાટકેશ્વરચેતન પરમાર ખોખરાજીગીશા સોલંકી ખોખરાશિવાની જૈનીકર ખોખરામીના સોલંકી ઈસનપુરમોના રાવલ ઈસનપુરશંકર ચૌધરી ઈસનપુરડૉ.ચાંદની પટેલ લાંભા જશોદા અમલીયાર લાંભા જલ્પા પંડ્યા વટવાસરોજ સોની વટવાગિરીશ પટેલ વટવામૌલિક પટેલ હાથીજણસિદ્ધાર્થ પરમાર હાથીજણચંદ્રિકા પંચાલ હાથીજણ આ કોર્પોરેટર રિપીટ થઈ શકે કેતન પટેલ ગોતા અજય દેસાઈ ગોતા પારુલ પટેલ ગોતા રાજેશ્રી પટેલ ચાંદલોડિયારાજેશ્વરી પંચાલ ચાંદલોડિયારીટા પટેલ ચાંદખેડાચેતન પટેલ સાબરમતીભાવિ પંચાલ રાણીપવિરલ વ્યાસ રાણીપઋષિના પટેલ થલતેજદર્શન શાહ નારણપુરામુકેશ મિસ્ત્રી સરદાર પટેલ સ્ટેડિયમપ્રદીપ દવે સરદાર પટેલ સ્ટેડિયમદીપલ પટેલ અથવા રશ્મિ ભટ્ટ સરદાર પટેલ સ્ટેડિયમસન્ની ખાનચંદાણી સરદારનગરવિપુલ પટેલ નરોડાદિશાંત ઠાકોર અસારવાભરત પટેલ શાહીબાગવંદના શાહ નવરંગપુરાઆશા બ્રહ્મભટ્ટ નવરંગપુરાદેવાંગ દાણી બોડકદેવઆશિષ પટેલ જોધપુરભારતી ગોહિલ જોધપુરનીતુ પરમાર ઈન્ડિયા કોલોનીભાવિક પટેલ અથવા ભરત કાકડીયા ઈન્ડિયા કોલોનીવિલાસ દેસાઈ(પટેલ) નિકોલદીપક પંચાલ નિકોલમુકેશ પટેલ વિરાટનગરપ્રકાશ ગુર્જર બાપુનગરઅશ્વિન પેથાણી બાપુનગર પંકજ ભટ્ટ ખાડિયા પૂજા દવે પાલડીપ્રીતિશ મહેતા અથવા જૈનિક વકીલ પાલડીમેહુલ શાહ વાસણાસ્નેહાબા પરમાર વાસણારાજેશ ઠાકોર વેજલપુરપારુલ દવે વેજલપુરજયેશ ત્રિવેદી સરખેજજયા દેસાઈ સરખેજઇલાક્ષી શાહ મણિનગરપ્રતિભા દુબે અમરાઈવાડીનીતુ દેસાઈ ઓઢવદિલીપ પટેલ ઓઢવઅનિરુદ્ધસિંહ ઝાલા અથવા પરેશ પટેલ વસ્ત્રાલકૌશિક પટેલ ઈન્દ્રપુરીકમલેશ પટેલ ભાઈપુરા-હાટકેશ્વરકમલેશ પટેલ ખોખરા માનસિંહ સોલંકી લાંભાસુનિતા ચૌહાણ રામોલ-હાથીજણઈસનપુર મૌલિક પટેલ

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:43 am

હિંમતનગર રેલવે સ્ટેશન માર્ગે પાણી ભરાયું:સાબરકાંઠાના 7 તાલુકામાં કમોસમી વરસાદ, હિંમતનગર-તલોદમાં એક ઇંચ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. 3 મિલીમીટરથી 26 મિલીમીટર સુધીના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિંમતનગરમાં 24 કલાકમાં એક ઇંચ (24 મિલીમીટર) કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ગાયત્રી મંદિર પાસેની વિવિધ સોસાયટીઓ અને ટાવર ચોકથી પાંચ બત્તી થઈને રેલવે સ્ટેશન જવાના માર્ગે પાણી ભરાયા હતા. પાણીના નિકાલના અભાવે લોકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. જિલ્લામાં 7 એપ્રિલ, મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, તલોદમાં 26 મિલીમીટર (એક ઇંચ), હિંમતનગરમાં 24 મિલીમીટર (એક ઇંચ), પ્રાંતિજમાં 13 મિલીમીટર, ઇડરમાં 10 મિલીમીટર અને વડાલીમાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:40 am

આગ્રા કૅન્ટ-અસારવા એક્સપ્રેસનું નિયમિત સંચાલન શરૂ:સાબરકાંઠાના મુસાફરોને વધુ સુવિધા મળશે, ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે

NWR દ્વારા સંચાલિત આગ્રા કૅન્ટ–અસારવા એક્સપ્રેસ (ટ્રેન નં. 20178/20177)નું આજથી નિયમિત સંચાલન શરૂ થયું છે. આ નિર્ણય સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમને વધુ સુવિધા પૂરી પાડશે. આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી અસારવા માટે દર બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 20177 અસારવાથી આગ્રા કૅન્ટ માટે દર ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી સાંજે 18:45 વાગ્યે પ્રસ્થાન કરશે. તે ગંગાપુર સિટી, સવાઈ માધોપુર, કોટા, બુંદી, ચંદેરિયા, માવલી, ઉદયપુર સિટી, ડુંગરપુર, શામળાજી રોડ અને હિંમતનગર જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અસારવા પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 20177 અસારવાથી બપોરે 15:00 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 07:15 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશને, આગ્રા કૅન્ટ-અસારવા ટ્રેન સવારે 9:35 વાગ્યે આવશે અને બે મિનિટના રોકાણ બાદ 9:37 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, અસારવા-આગ્રા કૅન્ટ ટ્રેન સાંજે 4:18 વાગ્યે આવશે અને બે મિનિટ રોકાઈને 4:20 વાગ્યે ઉપડશે. આ નવી સુપરફાસ્ટ ટ્રેન સેવા શરૂ થવાથી હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આગ્રા અને રાજસ્થાન તરફની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:35 am

પાટણની રામકૃષ્ણ ગૌશાળામાં 108 આહુતિ મારુતિ યજ્ઞ યોજાયો:વાવાઝોડા વચ્ચે પણ ભક્તોએ અખંડ પાઠ અને યજ્ઞ ચાલુ રાખ્યો

પાટણ ખાતે શ્રી રામકૃષ્ણ ગૌશાળા, રામનગર પદ્મનાથ મંદિર સામે મંગળવારે 108 આહુતિ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શ્રી સીતારામ મંડળ, જલારામ ગૌ સત્સંગ મંડળ અને શ્રી આનંદ ગરબા મંડળના ભક્તો દ્વારા યોજાયો હતો. આહુતિ પિયુષભાઈ મહારાજ દ્વારા અપાવવામાં આવી હતી. ભોજન પ્રસાદ હસમુખલાલ ઈશ્વરલાલ ઠક્કર, નાયકા વાળા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટણના મોટી સંખ્યામાં ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:21 am

પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠકબેઠક કરાવી:લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા મુદ્દે બોલાચાલી બાદ ધમાલ મચાવી હતી, 14માંથી 11 આરોપી ઝડપાયા

વડોદરમાં શહેરના એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા જેવી સમાન્ય બાબતે મામલો બિચક્યો હતો અને બે જૂથ સામ સામે આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી. આ કેસમાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 14 પૈકી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ધમાલ મચાવનાર આરોપીઓએ કાન પકડીને ઉઠકબેઠક પણ કરી હતી. પાણી ઢોળવા મુદ્દે બે જૂથ આવ્યા સામસામે 06 એપ્રિલની રાત્રે એકતાનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. આ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હાથાપાઈ, મારામારી અને એકબીજા પર પથ્થરમારો સુધી પહોંચી હતી. આ ઘટનામાં બંન્ને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. બંન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી ઘટનાની ગંભીરતા જોતા બાપોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી મામલો શાંત પાડયો હતો. પોલીસે આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. જેમાં 14 સામે નામજોગ ફરિયાદ નોધવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.યુ. પસ્તાગીયા અને તેમની ટીમે સીસીટીવી ફુટેજ, સ્થાનિક સાક્ષીઓ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 14 આરોપીમાંથી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આરોપીઓની શાન ઠેકાણે લાવી આ કાર્યવાહીમાં આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક પણ પોલીસે કરાવી હતી. ફિરોઝ ઉર્ફે હુક્કા શફીભાઈ મન્સૂરી, ઇમરાન ઉર્ફે ઇલ્લુ મુસ્તાક મન્સૂરી , સાહિલ ફિરોઝ ઉર્ફે હુક્કા મન્સૂરી , સમીર ઉર્ફે કાકા અશરફભાઈ પઠાણ , જુબેર જાકીરભાઈ મન્સૂરી અને સામે પક્ષે સલીમુદ્દીન કુતુબુદ્દીન શેખ, તમીજુદ્દીન કુતુબુદ્દીન શેખ , બશીરભાઈ રસૂલભાઈ મલેક અને ફારુક ઉર્ફે બબલુ ફરીદખાન પઠાણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:12 am

ગોધરામાં એ.કે. ટ્રેડર્સના સ્ક્રેપના જથ્થામાં આગ:2 ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો, સદનસીબે જાનહાનિ નહીં

ગોધરા શહેરના ચિખોદરા વિસ્તારમાં આવેલી 'એ.કે. ટ્રેડર્સ' નામની કંપનીમાં ગત રાત્રિએ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કંપનીના ખુલ્લા સંકુલમાં રાખવામાં આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયાપ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના સમયે એ.કે. ટ્રેડર્સમાં રાખેલા ભંગાર (સ્ક્રેપ)માં એકાએક આગ લાગી હતી. જ્વલનશીલ પદાર્થો અને પ્લાસ્ટિકના મિશ્રણને કારણે આગની જ્વાળાઓએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી. 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાનો ફાયર કાફલો 2 ફાયર ટેન્ડરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને બાજુની મિલકતોમાં ફેલાતી અટકાવી હતી. અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે શાંત પડી હતી. મામલતદાર અને પોલીસ દોડી ગઈઆગની ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા સિટી મામલતદાર અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:55 am

'બે દિવસ ફેરવવા માટે આપો' કહી ગઠિયાએ બોલેરો વેચી મારી:ચાણસ્માના દસ્તાવેજ લખનાર સાથે વિજાપુર અને ઇડરના બે શખસે ₹7 લાખની છેતરપિંડી આચરી, સાણંદમાં ગાડી વેચાઈ

ચાણસ્માના ઉગમણા દરવાજા વિસ્તારમાં રહેતા અને દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતા યુવક સાથે બોલેરો ગાડી ખરીદવાના બહાને 7.05 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ વિશ્વાસ કેળવી માત્ર 1 લાખ રૂપિયા આપી, બાકીના નાણાં ચૂકવ્યા વગર ગાડી અન્યત્ર વેચી મારી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે વિજાપુરના વસાઈ ડાભલા અને ઇડરના કમાલપુરના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો શું છે ?કુલદીપ ડોડીયાએ વર્ષ 2023માં 12.65 લાખની કિંમતે મહિન્દ્રા બોલેરો નિયો ટેન ખરીદી હતી. આ ગાડી પર ચાણસ્મા કો-ઓપરેટિવ બેંકની લોન ચાલુ હતી. કુલદીપે ગાડી વેચવા માટે તેમના મિત્ર ચિરાગસિંહ (રહે. જીતોડા) સાથે વાત કરી હતી. દરમિયાન, 23 જાન્યુઆરી 2026ના રોજ અનીલગીરી ગોસ્વામી (રહે. વસાઈ ડાભલા, તા. વિજાપુર) અને ભૌતિકગીરી ગોસ્વામી (રહે. કમાલપુર, તા. ઇડર) કુલદીપકુમારના ઘરે આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે ગાડીનો સોદો 7.05 લાખમાં નક્કી થયો હતો. વિશ્વાસ કેળવી ગાડી પડાવી લીધીઆરોપીઓએ ગાડીની બાકીની લોન ભરપાઈ કરી દેવાની ખાતરી આપી હતી અને 'બે દિવસ ફેરવવા માટે આપો' તેમ કહી કુલદીપનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને આર.સી. બુક સાથે ગાડી લઈ ગયા હતા. જોકે, બે દિવસ બાદ લોન ભરવા કે બાકીના નાણાં આપવા બાબતે આરોપીઓએ વાયદા શરૂ કર્યા હતા. ગાડી ત્રીજી વ્યક્તિને વેચી મારીકુલદીપે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ આ ગાડી સાણંદના શાંતિપુરા વિસ્તારમાં આવેલી તન્વી મોટર્સમાં રાહુલદાન ગઢવીને 5.80 લાખમાં વેચી દીધી હતી અને તેમની પાસેથી 4 લાખ રૂપિયા મેળવી લીધા હતા. રાહુલદાન ગઢવીએ પણ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા, અંતે કુલદીપે પોલીસનો આશરો લીધો હતો.ચાણસ્મા પોલીસે આ મામલે અનીલગીરી ગોસ્વામી અને ભૌતિકગીરી ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:48 am

વલસાડ નગરપાલિકાના ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો સ્લેબ તૂટ્યો:ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્ક મોપેડ પર કાટમાળ પડ્યો, મોટી જાનહાનિ ટળી; પાલિકા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવશે

વલસાડ શહેરમાં નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો એક સ્લેબ મંગળવારે મોડી રાત્રે અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલું એક મોપેડ કાટમાળ નીચે દબાઈ જતાં તેને વ્યાપક નુકસાન થયું હતું. જોકે, રાત્રિનો સમય હોવાથી કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. 30થી 40 વર્ષ જૂનું બિલ્ડિંગ અત્યંત જોખમીઆ શોપિંગ સેન્ટર અંદાજે 30 થી 40 વર્ષ જૂનું છે અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. પ્રાથમિક તપાસ મુજબ, છતમાંથી પાણી ઉતરવાને કારણે લોખંડના સળિયામાં કાટ લાગી ગયો હતો, જેના કારણે ગેલેરીનો સ્લેબ નમી પડ્યા બાદ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારીએ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી હતી. તમામ સેન્ટરોનું સ્ટ્રક્ચરલ ઓડિટ થશે આ દુર્ઘટના બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકાએ નિર્ણય લીધો છે કે તેના હસ્તકના તમામ શોપિંગ સેન્ટરોનો 'સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ' તૈયાર કરવામાં આવશે. સમારકામ: જે બિલ્ડિંગો રિપેર કરી શકાય તેવી સ્થિતિમાં હશે, તેનું ત્વરિત સમારકામ કરવામાં આવશે. ડિમોલિશન: જે ઇમારતો અત્યંત જોખમી અને રહેવા કે વેપાર કરવા લાયક નથી, તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાશે. ભાડુઆતોને સહકાર આપવા અનુરોધનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના તમામ દુકાનદારો અને ભાડુઆતોને અપીલ કરવામાં આવી છે કે, જો બિલ્ડિંગ જોખમી જણાય તો તેને ખાલી કરવામાં અથવા રિપેરિંગની કામગીરીમાં પાલિકાને પૂરતો સહયોગ આપે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને કારણે કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે આ પ્રકારની કડક કામગીરી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:37 am

હડદડ ખેડૂત-પોલીસ ઘર્ષણ મામલે આપ નેતાની ધરપકડ:કિશાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુ બોરીયાને LCBએ પકડ્યા, 6 મહિનાથી ફરાર હતા

બોટાદ એલસીબી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુભાઈ ગભરૂભાઈ બોરીચાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બોટાદ જિલ્લામાં થઈ છે. ભગુભાઈ બોરીચાનું નામ ૧૨ ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હડદડ ગામે પોલીસ સાથે થયેલા ઘર્ષણના કેસમાં આરોપી તરીકે સામે આવ્યું હતું. ભગુભાઈ બોરીચા ગઢડા તાલુકાની મોટા સખપર તાલુકા પંચાયત બેઠક માટે AAPના ઉમેદવાર પણ છે. આ કારણોસર તેમની ધરપકડને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલ બોટાદ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:10 am

સાંસદ અને રાજ્યમંત્રીના વોર્ડની શું છે સ્થિતિ?:પાયાની સુવિધાઓથી ક્યાંક સંતોષ, તો ક્યાંક ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી રોષ; નેતાઓના વિસ્તારમાં જનતાનો મિશ્ર પ્રતિભાવ

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 5 ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વોર્ડમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી જેવા દિગ્ગજ નેતાઓના નિવાસસ્થાન આવેલા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે અહિંના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અહિના મતદારો પાયાની સુવિધાઓથી ક્યાંક સંતોષ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક મતદારોમાં ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી રોષ પણ જોવા મળ્યો હતો. નેતાઓના આ વિસ્તારમાં જનતાનો મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો હતો. ‘પાણી, લાઈટ અને મહિલા સુરક્ષા જેવી તમામ સુવિધાઓ છે’વોર્ડ નંબર-5ની અવનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં સમસ્યાઓ બિલકુલ નહિવત છે. પાણી, લાઈટ અને મહિલા સુરક્ષા જેવી તમામ પાયાની સુવિધાઓ સરકાર દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે સરકારની યોજનાઓ ખૂબ જ લાભદાયી છે, જેના કારણે દીકરીઓ અને મહિલાઓ ઉદ્યોગ અને નોકરીના ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ‘નવી પાઈપલાઈન નંખાતા પૂરતું પાણી મળી રહે છે’વધુમાં જણાવ્યું કે, અગાઉ પાણીની સમસ્યા રહેતી હતી અને બે-ત્રણ દિવસે પાણી આવતું હતું, પરંતુ હવે નવી પાઈપલાઈન નંખાતા રોજ સમયસર અને પૂરતું પાણી મળી રહે છે. આ ઉપરાંત યોગ કેન્દ્રો, સ્વાસ્થ્ય અને આંગણવાડીની સુવિધાઓ પણ અમારા વોર્ડમાં ખૂબ જ પ્રશંસનીય છે. વોર્ડ 5માં ટ્રાફિક બાબતે કંચનસિંહે જણાવ્યું હતું કે, કંચનસિંહે જણાવ્યું હતું કે, પહેલા ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ રહેતી હતી, જેના કારણે બસ કે ટ્રેન પકડવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે શહેરમાં અનેક નવા ઓવરબ્રિજ બની ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં મોટો સુધારો આવ્યો છે. હવે ગમે તે સમયે નીકળીએ તો પણ ટ્રાફિકને કારણે મોડું થતું નથી, જે જામનગરના લોકો માટે મોટી રાહત છે. ‘રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ છે’તો બીજી તરફ વોર્ડ નંબર 5ના રહેવાસી રામદેવ ભાઈ ઓડેદરાએ ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, વોર્ડ નંબર 5માં ટ્રાફિક ઉપરાંત રોડ-રસ્તાની હાલત પણ અત્યંત ખરાબ છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ વારંવાર સર્જાય છે. તમે અહીં જોઈ શકો છો કે રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેનો છેલ્લા 5 વર્ષથી કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ‘લારી-ગલ્લાઓનો ખડકલો જોવા મળે છે’વધુમાં જણાવ્યું કે, ​જામનગરમાં મચ્છરોનો સૌથી વધુ ઉપદ્રવ હોય તો તે નીલકમલ ચોકડી પાસે છે, જ્યાં બાંધકામ દરમિયાન થયેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે. આ બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં, માર્કેટ નવી જગ્યાએ શિફ્ટ થઈ હોવા છતાં અહીં લારી-ગલ્લાઓનો ખડકલો જોવા મળે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે. ખરાબ રસ્તા, ખાડાઓ અને પાણી ભરાવાની આ સમસ્યાઓથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ‘મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો’મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 5માં રહેતા મનીષાબેન મહેતાએ સ્વચ્છતા અને મહિલા ઉત્કર્ષની યોજનાઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ​મનીષાબેને જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કચરાના ઢગલાઓ અને ડસ્ટબિનની સમસ્યાઓ રહેતી હતી, પરંતુ હવે સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. હવે નિયમિતપણે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની ગાડી આવે છે. સંગીતના માધ્યમથી ગાડીના આગમનની જાણ થતા જ લોકો પોતપોતાના ઘર કે પાર્કિંગમાંથી કચરો આપી શકે છે, જેનાથી વિસ્તારમાં ખૂબ જ સરસ ચોખ્ખાઈ જળવાઈ રહી છે. પ્રીતિબેન દ્વારા જણાવ્યું હતું કે, આરોગ્ય માટે અહીંયા ઓક્સિજન પાર્ક બનાવવાની મંજૂરી મળી ગઈ છે જે ટૂંક સમયમાં ચાલુ થઈ જવાની છે. મોટી ઉંમરના લોકોને બહુ જ સરસ પાર્ક મળશે, જેમાં એ લોકો બહુ જ સારી રીતે વોક કરી શકશે. બધું જ એમને સારું ઓક્સિજન મળે તો એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકા પાસે અમારી માંગણી તો બહુ જ ઓછી છે કારણ કે બધી માંગણી પૂરી કરી દીધી છે, છતાં પણ કંઈક રહેશે તો એ અમને એટલો કોન્ફિડન્સ છે કે મનપા અમારી માંગણી પૂરી કરશે જ. ‘અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં’વોર્ડ નંબર 5ના યુવાન ઉત્સવ પંડ્યાએ જણાવ્યું કે, વોર્ડ નં. 5માં બિસ્માર રસ્તાઓ અને ખાડાઓથી લોકો પરેશાન છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ જોવા મળે છે. ચોમાસા દરમિયાન ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ જરૂરી છે. અમારી અપેક્ષા માત્ર એટલી જ છે કે જે પણ ઉમેદવાર જીતે, તે જામનગરની જનતાને પાયાની સુવિધાઓ જેવી કે સારા રસ્તા, લાઈટ અને ડ્રેનેજ સિસ્ટમ પૂરી પાડે. સ્થાનિક યુવાને જણાવ્યું કે, વોર્ડમાં કામ ઘણા સારા જ થયા છે અમે ઈચ્છીએ છીએ કે લોકોની વચ્ચે રહે એવા ઉમેદવાર ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર મળે જેથી લોકોના પ્રશ્નો વધારે હલ થાય. મેન રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વોર્ડ નંબર 5માં આંકડાકીય વિગત મુજબ, કુલ 22,646 મતદારો છે, જેમાં 11,800 પુરુષ મતદારો અને 10,846 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આગામી ચૂંટણીમાં કેટલાક મુખ્ય પ્રશ્નો નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમાં આંતરિક રસ્તાઓનું નવીનીકરણ અને ખાડા મુક્ત રસ્તાની માંગ, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ કરતી ડ્રેનેજ સિસ્ટમ, તેમજ આરોગ્ય અને મચ્છર નિયંત્રણ દ્વારા સ્વચ્છતાની જાળવણીનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:05 am

પાલિકા-પંચાયત માટે આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે:ભાજપ મધ્ય અને ઉત્તર ગુજરાત ઝોનના ઉમેદવારો પર મંથન કરશે, 11 તારીખે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ

પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી તેજ કરી છે. 11 એપ્રિલ નામાંકનની અંતિમ તારીખ હોય આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે સાંજે સુધીમાં છ યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે, ભાજપ દ્વારા હજી કોઈ ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડમાં હાલ ઝોન વાઈઝ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે અને અંતિમ યાદી ફાઈનલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે આજે કોંગ્રેસ તેની બીજી યાદી જાહેર કરી શકે છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં દક્ષિણ-સૌરાષ્ટ્ર ઝોનની પાલિકા-પંચાયતના ઉમેદવારો ફાઈનલભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની પાલિકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી અને ફાઈનલ યાદી તૈયાર કરાઈ હતી. જે આગામી એક બે દિવસમાં જાહેર કરાઈ શકે છે. આજે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉત્તર અને મધ્ય ગુજરાત ઝોનની પાલિકા-પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે અને અંતિમ યાદી તૈયાર કરાશે. કોંગ્રેસ તેની બીજી યાદી આજે જાહેર કરી શકેકોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકા માટે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફક્ત 243 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મેનિફેસ્ટોના કાર્યક્રમના કારણે યાદી પર બ્રેક વાગી હતી. પરંતુ, હવે મેનિફેસ્ટોની કામગીરી પૂર્ણ થઈ હોય કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે. પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

'ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ અંગ્રેજીના શિક્ષક':ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા, ટ્રાફિકની સમસ્યા અને રોડના વારંવાર ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 2 અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ, કઠોર અને વેલંજા વિસ્તારના જનપ્રતિનિધિઓ માટે જનતાએ અપેક્ષાઓનું ભાથું તૈયાર રાખ્યું છે. સ્થાનિક રહીશોનું માનવું છે કે માત્ર વાતો નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે તેવા નેતાઓની આજે જરૂર છે. આ વોર્ડમાં માળખાગત સુવિધાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા, ટ્રાફિકની સમસ્યા અને રોડના વારંવાર થતા ખોદકામે નાગરિકોની હાલાકીમાં વધારો કર્યો છે. તો બીજી તરફ, સ્થાનિક વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ અંગ્રેજીના શિક્ષક છે. આમ, સામાન્ય જનતા પાયાની સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એમ બંને મોરચે સંઘર્ષ કરી રહી છે. સ્થાનિકોએ વરાછામાં અદ્યતન એસ.ટી. બસ ડેપોની માંગણી કરીલોકોની મુખ્ય માગણી સુરક્ષાને લઈને છે. હાલનું પોલીસ સ્ટેશન એવી જગ્યાએ કાર્યરત છે કે સામાન્ય નાગરિકને તે શોધવામાં પણ મુશ્કેલી પડે છે. મતદારોની માગ છે કે આગામી શાસકો પોલીસ સ્ટેશન માટે કોઈ મોકળાશવાળી અને મુખ્ય માર્ગ પરની જગ્યા ફાળવે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બની શકે. વધતી જતી વસ્તી અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાને રાખીને મોટા વરાછા વિસ્તારમાં એક અદ્યતન એસ.ટી. બસ ડેપોની માંગણી ઉઠી છે. બહારગામ જવા માટે લોકોને દૂર સુધી લાંબા થવું પડે છે, જો સ્થાનિક સ્તરે ડેપોની વ્યવસ્થા થાય તો હજારો મુસાફરોને રાહત મળી શકે તેમ છે. ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા મોટા વરાછા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મંજૂર થઈ ચૂક્યો હોવા છતાં તેનું કામ હજુ સુધી કાગળ પર જ છે. વિકાસના આ કામમાં થઈ રહેલો વિલંબ લોકોમાં આક્રોશ જન્માવી રહ્યો છે. નવા બનેલા રોડ પર વારંવાર થતા ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આયોજન વગરના કામોને બદલે કાયમી અને મજબૂત રસ્તાઓ બને તેવી અપેક્ષા રખાઈ રહી છે. વિસ્તારમાં સરકારી શાળાઓ અને આંગણવાડીઓની સંખ્યા વધારવા તેમજ હાલની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની માંગણી પણ જોર પકડી રહી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોના વિકાસ અને આસપાસના રસ્તાઓના નવીનીકરણ માટે પણ લોકો નેતાઓ સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે. પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સ્થાનિકોમાં રોષદર વર્ષે ચોમાસામાં મોટા વરાછા અને ઉત્રાણના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા અને પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે દર વર્ષે સવાલો ઉઠે છે. જનતા આ વખતે એવા પ્રતિનિધિને પસંદ કરવા માંગે છે જે આ વોટર લોગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે. મોટા વરાછાની જનતા જાગૃત છે. આ વખતે ચૂંટણીમાં પક્ષ કરતાં 'કામ' અને 'સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ' ને વધુ મહત્વ આપવામાં આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 'હોટેલોની અંદર દૂષણો ચાલતા હોય એ બંધ થવી જોઈએ'વિજય માંગુકિયા (સામાજિક અગ્રણી)એ જણાવ્યું હતું કે, સામાજિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો સામાજિક દૂષણ તરીકે અત્યારે ઓયો હોટલ, જે મોટા વરાછા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં મહિલાઓ જે કામ પર જતી હોય છે, આઇટી સેક્ટરમાં ખૂબ અહીંયા વિકાસ થતો હોય છે ને આઇટી સેક્ટરના ઘણા બધા બિલ્ડીંગો બન્યા છે, કોમર્શિયલ બિલ્ડીંગો આવી રહ્યા છે. તો આ બધામાં નીચેના ભાગમાં હાઈ-ફાઈ ગલ્લાઓ હોય છે જ્યાં બીડી-સિગારેટ આદિ વ્યસનો કરવા માટે યુવાનો-યુવતીઓને સરળતાથી મળી રહે અને ત્રણ-ચાર માળમાં જે ઓફિસો આવેલી છે એમાં ઉપરના જે ટોપ ફ્લોર જેટલા પણ કોમર્શિયલ બિલ્ડિંગો છે એમાં મોટા ભાગના બિલ્ડિંગોની અંદર ટોપ ફ્લોરની અંદર ઓયો હોટલ આવી છે. માંગુકિયાએ વધુમા કહ્યું કે, મોટા ભાગે જે શાકભાજી લેવાનો જે સમયગાળો હોય છે, જે મહિલાઓને બહાર નીકળવાનો સમયગાળો હોય છે એવા સમયે આ હોટેલોની અંદર દૂષણો ચાલતા હોય છે અને આ હોટલો સદંતર પણે બંધ થવી જોઈએ. પોલીસ સ્ટેશનની અંદર આ ‘પ્રતિક્ષા’ નામનું જે એપ છે એમાં એક પણ હોટેલના માલિકો, એક પણ હોટેલના જે સંચાલકો છે એ પોલીસ સ્ટેશનની અંદર એ એપનો ઉપયોગ કરતા નથી અને રજિસ્ટ્રેશન પણ કરતા નથી. 'એક પણ ST ડેપો આવેલો નથી'સ્થાનિક રોનક ઘેલાણીએ જણાવ્યું હતું કે, સુરત મનપામાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે વરાછાના ગરનાળાથી લઈ છેક કામરેજ સુધી, આ બાજુ ઉમરા-વેલંજા સુધી અને આ બાજુ યોગીચોક સુધીમાં એક પણ ST ડેપો આવેલો નથી. તો તેમની માટે એક જગ્યા ફાળવવામાં આવે જ્યાં ટ્રાફિકનો બનાવ ન બને, તેવી જગ્યા સારી એવી સિલેક્ટ કરી અને ફાળવવામાં આવે જેથી કરીને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે વાર-તહેવાર અને પ્રસંગોપાત જતી પબ્લિક માટે એક સારી એવી સુવિધા પ્રાપ્ત થાય. 'પોલીસ સ્ટેશનની જગ્યા ભાડાપટ્ટા ઉપર'ઘેલાણીએ વધુમાં કહ્યું કે, તેવી જ રીતે વોર્ડ નં. 2, 3 અને 4 હોય, આ તમામ જગ્યાએ લગભગ પોલીસ સ્ટેશનની જગ્યા ભાડાપટ્ટા ઉપર અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર બનેલી જગ્યાઓ છે, તેને ફિક્સ જગ્યા ફાળવી અને તેમને વિસ્તારની મધ્યમાં બનાવવામાં આવે જેથી કરીને પોલીસ સ્ટેશનનું કોઈપણને જ્યારે કામ પડતું હોય ત્યારે લોકોને શોધવું ન પડે અને પોલીસ પણ તત્કાલ ગણતરીની મિનિટોમાં ગુનેગારોને પકડવામાં મદદરૂપ બની શકતી હોય છે. '200 જેટલી બસો ચાલતી હોવાથી ટ્રાફિકની સમસ્યા'રોનક ઘેલાણીએ કહ્યું કે, સમસ્યામાં તો તમને ખ્યાલ છે કે ટ્રાફિકની સમસ્યા મોટા વરાછા વિસ્તારમાંથી સાંજે લગભગ 200 જેટલી બસો સુરતથી સૌરાષ્ટ્ર તરફ રવાના થતી હોય છે. ત્યારે વ્યવસ્થિત રોડ રસ્તા તો બની ગયા છે પરંતુ જો 'નો એન્ટ્રી' ઝોનને બાદ કરી એક મોટી જગ્યામાં ST ડેપો બની જાય તો ખરેખર આ ટ્રાફિકનું ન્યૂસન્સ પણ ઓછું થઈ શકે તેમ છે. તેવી જ રીતે એક સાયબર ફ્રોડનો મુદ્દો પણ આ વિસ્તારમાં બહુ મોટા પાયે આવે છે કે ગુજરાત બહારની પોલીસ અવાર-નવાર વરાછાના ઘણા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ગુનેગારોની અટકાયત કરવા માટે આવતી હોય છે. તો આગામી કોર્પોરેટરો જે કોઈ બને તે સ્થાનિક પોલીસને સાથે લઈ અને આ જે સાયબર માફિયાઓ છે તેની ઉપર ડામ મૂકવામાં આવે અને નવા ગુનેગારો ન પેદા થાય તેની તકેદારી રાખવામાં આવે. 'મારી એક ખાસ માંગ છે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે'તેને વધુમાં કહ્યું કે, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જો રિવરફ્રન્ટ ઉપર ઘણા પતંગોત્સવ, રમોત્સવ અથવા બહારનું ડેલિગેશન જ્યારે આવતું હોય ત્યારે મોટા મોટા કાર્યક્રમો થતા હોય, તેવી જ રીતે વરાછાના ગઢપુરથી લઈ કામરેજ સુધીમાં જો રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે, તો આપણે પણ રમોત્સવ, પતંગોત્સવ તેવા ઘણા મોટા મોટા કાર્યક્રમો ઉજવી અને આ વરાછાની જનતાને ખુશ રાખી શકીએ તેમ છીએ. તો મારી એક ખાસ માંગ છે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે, લોકોને એક આસ્થાનું પ્રતીક અને એક ટુરિઝમ ડેવલપ કરવામાં આવે. 'અમે જીતાડીએ અને ટૂંક સમય થાય એટલે પક્ષ પલટો કરી નાખે'જયેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, સમસ્યાઓ તો હાલ ઘણી છે, જે અમે ચાલુ કોર્પોરેશનને અમે જીતાડીએ છીએ અને ટૂંક સમય થાય એટલે પક્ષ પલટો કરી નાખે તો અમારા વિસ્તારના વિકાસો થતા નથી. પક્ષ પલટો કરે એનોય અમને વાંધો નથી, પક્ષ પલટો કર્યા પછી પણ વિકાસના કામો નથી થતા અને ખાલી વાહ-વાહી કરે છે બધા. 'કોઈ સાફ-સફાઈ થતી નથી 'સ્થાનિક નિલેશ પોલરાએ જણાવ્યું હતું કે, મોટા વરાછા, ઓક્સિજન હાઉસની પાછળ રહું છું, શિવનગર સોસાયટીમાં. તો તે શિવનગર સોસાયટીની બાજુમાં, આગળ ઓક્સિજન હાઉસની પાછળ શાંતિકુંજ આવેલો છે. એ નિરાધાર પડેલો છે. એમાં કોઈ સાફ-સફાઈ થતી નથી અને એસ.એમ.સી. (SMC) વાળા એમ જ પગાર લઈ રહ્યા છે. અને 15 દિવસ પહેલા નાળિયેરી પડેલી છે, તો એસ.એમ.સી. વાળા બે કટકા કરી ગયા છે પણ ભરી નથી ગયા. અને ત્રણ-ચાર ફેર અમારા પ્રમુખે અરજી આપેલી છે, તોય પછી એનો કોઈ નિકાલ થયો નથી. 'એમનેમ પગાર લઈ રહ્યા છે'તેને વધુમાં કહ્યું કે, હાલની સ્થિતિ જોઈએ તો નાળિયેરી જે સાઈડમાં છે, ત્યાં હમણાં બહારના લોકો મહેમાન આવે, તો ત્યાં ગાડી પાર્ક કરતા. તો હવે ત્યાં ગાડી પણ પાર્ક કરવી મુશ્કેલી છે, એટલા માટે નાળિયેરી નડી રહી છે. શાંતિકુંજની સ્થિતિ અત્યારે સાવ નિરાધાર (ખરાબ) પડેલો છે. કોઈ ત્યાં બેસતું નથી, કૂતરા બેસે છે અને સાફ-સફાઈ થતી નથી, એમનેમ પગાર લઈ રહ્યા છે. 'પીક અવર્સના સમયમાં ફૂલ ટ્રાફિક સર્જાય છે'નમ્રિત જોગાણીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી વોર્ડ નંબર 2માં રહીએ છીએ. અહીંયા સરસ મજાનો વી.આઈ.પી. ટુ અબ્રામાનો મેઈન ટી.પી. રોડ બન્યો છે આર.સી.સી. પણ તે રોડમાં અમુક જગ્યાએ ખામી રહી ગઈ છે. ભૂતપૂર્વ કોર્પોરેટરના કારણે જે ઉતરાણ પાવર હાઉસની દીવાલ છે, ત્યાંથી રસ્તો 10 ફૂટ જેટલો સાંકડો થઈ જાય છે. કાયદેસર એ દીવાલ તોડીને તેને વ્યવસ્થિત રીતે રી-ડેવલપ કરી નાખવામાં આવે તો ત્યાંથી રસ્તો ઘણો પહોળો થઈ શકે એમ છે. 'વળાંકના કારણે અકસ્માત ને ભૂતકાળમાં 10 લોકોના મોત થયા છે'જોગાણીએ વધુમાં કહ્યું હતું કે, અહીંયા તાપી નદીના કાંઠે સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. તો ત્યાં જે સીટી વિસ્તાર છે, ત્યાં જેમ ઓવારા ડેવલપ કરેલા છે વ્યવસ્થિત રીતે, તો એ વિસ્તારના અમારા મહાદેવજીનો ઓવારો છે તેને પણ વ્યવસ્થિત રીતે ડેવલપ કરવામાં આવે. અહીંયા અબ્રામા ખાતે જે કબ્રસ્તાન આવેલું છે, ત્યાં વળાંકના કારણે ઘણા લોકો ડમ્પરનો ભોગ બને છે. ભૂતકાળમાં ત્યાં 10 જેટલી વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે, તો એ ભયંકર વળાંકનું પણ કંઈક સોલ્યુશન કરવામાં આવે એવી અમારી સ્થાનિક લેવલે રજૂઆત છે. 'ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ ઈંગ્લીશ મીડીયમના શિક્ષક છે'સ્થાનિક વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારે વોર્ડ નં. 2માં, મોટા વરાછામાં 4 સરકારી સ્કૂલો આવેલી છે. છેલ્લા 4 વર્ષથી એક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ચાલુ થયેલી છે. એ 4 વર્ષ થઈ ગયા પણ 4 વર્ષની અંદર 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. હવે વિચાર કરો કે ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવાના છે અને એક શિક્ષકથી કઈ રીતે શક્ય છે?. પણ અત્યાર સુધી 3 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધીમાં કોઈ નિરાકરણ આવેલ નથી. '3-3 વર્ષ થઈ જાય છે અને ભણતર મળતું નથી'તેને વધુમાં કહ્યું કે, કોર્પોરેટરો કહે છે કે અમે રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતા નથી. હવે મારી વારંવાર રજૂઆત એ જ છે કે તમે રસ્તા ખરાબ આપો તો ચાલશે, પીવાનું પાણી ના આપો તો પણ ચાલશે, પણ અમારા બાળકનું ભવિષ્ય ન બગડે એ વિશે થોડું વિચારો તમે. એનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે. 2-2, 3-3 વર્ષ થઈ જાય છે પણ એ સમય પસાર થાય છે અને ભણતર મળતું નથી. 'વરાછા B ઝોનની અંદર પણ એક પુસ્તકાલય મોટું બનાવો'દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ઝોનની અંદર એક પુસ્તકાલય હોય છે, તો ઝોન Aની અંદર પુસ્તકાલય આ ગયા વર્ષે-બે વર્ષ પહેલા બની ગયું છે. ઝોન B વરાછા-સરથાણા ઝોન બન્યું છે નવું, એ ઝોન ખૂબ વિશાળ છે, એમાં લગભગ સાતથી આઠ લાખ લોકોની વસ્તી રહી રહી છે. તો અમારી માંગણી એ છે કે તમે વરાછા B ઝોનની અંદર પણ એક પુસ્તકાલય મોટું બનાવો, કે જેથી યુવાનો પુસ્તકો વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે અને પોતાનું કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે. 'ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન માટેના સ્વિમિંગ પુલ નથી'તેને વધુમાં કહ્યું કે, બીજી અમારી માંગણી એ છે કે મોટા વરાછામાં એક સ્વિમિંગ પુલની પણ જરૂર છે. સ્વિમિંગ પુલ છે પણ ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન માટેના નથી. દરેક સ્વિમિંગ પુલની સાઈઝ ઓલિમ્પિક સાઈઝની કોમ્પિટિશન માટેની બનાવવામાં આવતી હોય છે. ઝોન Aમાં છે એવા ઝોન Bની અંદર નથી બનાવવામાં આવેલા, તો અમારી એ પણ ડિમાન્ડ છે કે 'ખેલો ઇન્ડિયા', 'ખેલો ગુજરાત' નામે ગુજરાત સરકાર વારંવાર કાર્યક્રમ યોજતી હોય છે, તો અમે પણ એવું ઇચ્છીએ છીએ કે કાર્યક્રમની સાથે સાથે અમે એક એવી સુવિધા પણ આપવામાં આવે, જેથી કરીને સ્વિમિંગ પુલ સારો હોય તો યુવાનો તરતા શીખી શકે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

સંઘવી સામે મોરેમોરો આવવા ઈટાલિયા તૈયાર:કરસનદાસ બાપુએ જગદીશ પંચાલના ચાળા પાડ્યા; કુમાર કાનાણીએ સ્ટેજ પરથી કોને લપેટામાં લીધા?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

પૌત્રીની નજર સામે જ પતિએ દાદીની હત્યા કરી:ગુજરાતનું ગામડું છોડી ચંદીગઢ પહોંચ્યા, ભાગ્યા પછી પોલીસ તપાસ પર સોશિયલ મીડિયાથી નજર રાખી

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે ગોરાડ ગામે પામુબેન નામના એક વૃદ્ધા રહેતા હતા. તેનો પુત્ર જોરૂભાઇ ભાવનગરમાં નોકરી કરતો હતો. જોરૂભાઇની પુત્રી નીકિતાના લગ્ન ત્રાસદ ગામે રહેતા મુમણ સાથે થયા હતા. જ્યારે મુમણની બહેનના લગ્ન નીકિતાના કાકા સાથે થયા હતા. લગ્ન બાદ નીકિતાના કાકી તેના કાકા સાથે રહેતા નહોતા એટલે પરિવાર નીકિતાને મુમણને છોડીને ગોરાડ રહેવા આવી જવા માટે કહેતો હતો પણ નીકિતા તે માટે તૈયાર નહોતી. એક દિવસ પામુબેનના ખબર અંતર પૂછવા માટે નીકિતા અને તેનો પતિ મુમણ ગોરાડ ગામે આવ્યા હતા. જ્યાં પામુબેને નીકિતાને રોકાઇ જવા માટે કહ્યું હતું. જેના પછી મુમણ અને પામુબેન વચ્ચે રકઝક ચાલુ થઇ હતી. હવે આગળ વાંચો.... રકઝક બાદ પામુબેનનો અવાજ ઊંચો થયો. પામુબેનઃ હું નીકિતાને કોઈપણ ભોગે ત્રાસદ જવા દેવાની નથી.મુમણે સામે બૂમ પાડી- નીકિતાને ગોરાડ રાખશો તો જોયા જેવી થશે. એકાદ માણસ ઓછું થશે તો પણ હું એને ત્રાસદ લઇ જવાનો છું. આ રકઝક જોરૂભાઇએ ફોન પર સાંભળી લીધી. તે આગળ વધુ કંઇ સાંભળે તે પહેલાં તો મુમણે પામુબેનના હાથમાંથી ફોન લઇને કટ કરી નાખ્યો. હવે અહીં પામુબેન અને મુમણ વચ્ચેનો ઝઘડો વધતો જતો હતો. શબ્દોની ગરમાગરમી થપ્પડ સુધી પહોંચવાની હતી. પામુબેને ગુસ્સામાં આવીને જમાઇ મુમણને લાફો ઝીંકી દીધો. પામુબેનની આ હરકતથી મુમણ અને નીકિતા ડઘાઇ ગયા. આવું કંઇ બનશે તેવી બન્નેને કલ્પના જ નહોતી. પતિને પડેલી થપ્પડે અત્યાર સુધી શાંત ઊભેલી નીકિતાનું મૌન તોડ્યું. તે ત્રાડુકી.... બા, તમે લાફો કેમ માર્યો? આ તરફ મુમણનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. દાદી સાસુના આવા અણધાર્યા પ્રહારથી તે સમસમી ગયો. પગ પછાડતો ઘરની બહાર નીકળીને ભેંસ રાખવાની ગમાણ તરફ ગયો. ત્યાં જઇને આમ તેમ જોયું તો તેની નજરમાં પાવડો આવી ગયો. મુમણ પર ઝનૂન સવાર હતું. તે બીજું કંઇ વિચારવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે ઝડપથી પાવડો ઉપાડ્યો અને ઘર તરફ દોટ મુકી. ઘરનો દરવાજો ઓળંગીને અંદર આવ્યો ત્યારે નીકિતા પામુબેનની બાજુમાં જ ઊભી હતી. મુમણે નીકિતાને બાજુમાં હડસેલી દીધી અને નીકિતા કે પામુબેન કંઇ સમજે-વિચારે તે પહેલાં જ પોતાના હાથમાં રહેલો પાવડો જોરથી પામુબેનના માથામાં ફટકારી દીધો. પામુબેન વૃદ્ધ હતા વળી, મુમણે અચાનક દોડી આવીને આ રીતે હુમલો કર્યો હતો એટલે તે પોતાને બચાવી શકે તેવી સ્થિતિમાં જ નહોતા. માથામાં પાવડો પડતાં જ પામુબેન લોહીલુહાણ થઇને જમીન પર ફસડાઇ પડ્યા. ગુસ્સાની આગમાં પળવારમાં એવું બની ગયું જે મુમણ અને નીકિતાની જિંદગીને અંધકારમાં ધકેલી દેવાનું હતું. પામુબેન ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યા. બીજી તરફ જોરુભાઇ સાથે એક વાર ફોનમાં વાત થઇ હતી. જેથી તેમને ચિંતા થતી હતી. તેમણે માતા પામુબેનને ફોન કર્યો પણ ફોન બંધ આવતો હતો. હવે જોરૂભાઇએ દીકરી નીકિતા અને જમાઇ મુમણને પણ ફોન કર્યો પરંતુ બન્નેના ફોન પણ બંધ હતા. જેથી જોરૂભાઇ વધુ ટેન્શનમાં આવી ગયા. ન રહેવાતા થોડીવાર બાદ તેમણે લીંબાસી ગામે રહેતા ભાણિયા જયપાલે ફોન જોડ્યો. જોરૂભાઇઃ જયપાલ, ઘરે જા. ત્યાં મમ્મી અને જમાઇ ઝઘડતા હતા. હવે બન્નેના ફોન બંધ આવે છે. તુ ત્યાં જઇને જો અને જે હોય તે મને કહેજે. આ વાત થયાને અંદાજે અડધા કલાકમાં જોરૂભાઇના નાનાભાઇ વિરલે તેમને ફોન કર્યો અને કહ્યું કે જયપાલે આપણા ફળિયામાં રહેતા નિકુલને ફોન કરીને બાના ઘરે મોકલ્યો હતો. નિકુલ ગયો તો બા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. બા મરી ગયા છે. ભાઇના આ શબ્દો સાંભળીને જોરૂભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ. તે ભાવનગરથી સીધા ગોરાડ જવા નીકળી ગયા. તેમને ચિંતા એટલી હતી કે રસ્તામાંથી પણ મુમણને ફોન લગાવ્યો પણ ફોન બંધ આવતો હતો. જેમતેમ કરીને જોરૂભાઇ ઘરે પહોંચ્યા પણ ત્યાંનો માહોલ જોઇને અવાચક થઇ ગયા. ઘરની બહાર ટોળું ઊભું હતું. પોલીસની વાન પડી હતી અને ઘરની અંદર માતાની લાશ હતી. પોલીસે જોરૂભાઇને વિગતો પૂછી તો તેમણે જણાવ્યું કે મારી દીકરી અને જમાઇ આવ્યા હતા અને પછી બોલાચાલી થઇ હતી. હવે દીકરી-જમાઇના ફોન બંધ આવે છે. આના પછી પોલીસે જોરૂભાઇ પાસેથી બન્નેના નંબર લીધા અને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો. આ સમયે પણ બન્નેના ફોન સ્વીચ ઓફ જ હતા. નીકિતા અને મુમણની ઓળખ માટે હવે પોલીસ પાસે ફક્ત એક જ રસ્તો હતો, તેનો ફોટો. પોલીસે જોરૂભાઇ પાસે નીકિતાનો ફોટો માંગ્યો. જોરૂભાઇઃ મારી પાસે નીકિતાનો ફોટો નથી.પોલીસઃ કોઇ જૂના આલ્બમમાં હોય તો જુઓ.જોરૂભાઇઃ ના, મારી પાસે છે જ નહીં. પોલીસ માટે ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ આવ્યું. આરોપીનો જૂનો ફોટો હોય તો પણ ઓળખ થઇ જાત. જો કે નસીબે પોલીસનો સાથ આપ્યો. છેવટે નીકિતાનો ફોટો મળી ગયો પણ મુમણનો ફોટો ન મળ્યો. પોલીસે બન્નેની તપાસનું પગેરૂં સગાસંબંધીઓના ઘર સુધી લંબાવ્યું પણ ત્યાંથી કંઇ મળ્યું નહીં. અન્ય કેટલાક લોકોની પૂછપરછ કરી. જેમાંથી નિમેશ પ્રજાપતિ નામના યુવકે કહ્યું કે મુમણે બપોરે એક વાગ્યે મારી પાસે બાઇક માંગ્યું હતું પણ મારે નોકરી પર જવાનું હતું એટલે મેં ન આપ્યું. સાંજે ભૂલથી મેં મુમણને મિસકોલ કરતાં તેણે સામે ફોન કર્યો હતો પણ મેં વાત નહોતી કરી. બીજા દિવસે મુમણે ફરી ફોન કરીને પૂછ્યું હતું કે તુ મારા ઘર તરફ ગયો હતો? મારા ભાઇઓ ક્યાં છે? મેં તેને કહ્યું હતું કે હું એ તરફ નથી ગયો, તારા ભાઇઓની મને ખબર નથી. આ વાતચીત બાદ મુમણે દરેક સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. પોલીસે મુમણના ગામ ત્રાસદમાં તપાસ કરી પણ બન્ને ગોરાડથી નીકળ્યા બાદ ત્રાસદ પહોંચ્યા જ નહોતા. પરિવારની પૂછપરછ કરી તો એ પણ આ બન્ને વિષે કંઇ જાણતો નહોતો. મુમણ અને નીકિતા જ્યારે ગોરાડથી બાઇક લઇને નીકળ્યા હતા ત્યારે મુમણે પાવડો સાથે લઇ લીધો હતો. જે રસ્તામાં ફેંકી દીધો હતો. પાવડો ફેંકતી વખતે બન્નેએ હોંશિયારી વાપરીને ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. ફોન કરવા હોય ત્યારે ભીડભાડવાળા વિસ્તરમાં જઇને ફોન કરી લેતા. મુમણ પરિવાર સાથે કોન્ટેક્ટમાં હતો. અઠવાડિયે એક વાર તે ઘરે ફોન કરી લેતો. બીજીતરફ પોલીસ પણ એને પકડવા તત્પર હતી. બન્ને પર વોચ ચાલુ જ હતી. એક દિવસ અચાનક મુમણના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન મળ્યાં. તપાસ કરી તો લોકેશન ચંદીગઢનું આવ્યું. હકીકતમાં મુમણ ત્યાં જઇને જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીએ મુમણનો પગાર જમા કરાવ્યો હતો. મુમણે ચંદીગઢમાં ખર્ચ કર્યો હોવાની એન્ટ્રી પણ તેના એકાઉન્ટમાંથી મળી હતી. આના પરથી એટલું તો સ્પષ્ટ હતું કે મુમણ ચંદીગઢમાં જ હોવો જોઇએ. પોલીસની ટીમ ચંદીગઢ પહોંચી ગઇ અને મુમણનું લોકેશન શોધ્યું. પોલીસને જોતાવેંત જ મુમણ અને નીકિતા ચોંકી ગયા. હવે તેમની પાસે કહેવા માટે કંઇ નહોતું અને સરેન્ડર કર્યા સિવાય છૂટકો નહોતો. પોલીસ બન્નેને પકડીને ગુજરાત લાવી. પૂછપરછ કરી તો ખુલાસો થયો કે મુમણ તેના પરિવારના સંપર્કમાં હતો. દૂરના મામા-મામી સાથે વાત કરીને કેસનું અપડેટ જાણી લેતો હતો. ચંદીગઢ પહોંચીને તેણે નવી જિંદગી શરૂ કરી હતી.એક ઘર ભાડે રાખ્યું હતું અને નવું સીમકાર્ડ ખરીદીને નવો મોબાઇલ નંબર પણ લીધો હતો. પોતે મજૂરી કરવા જતો. નીકિતા અને મુમણ જાહેર જગ્યાએ જઇને સોશિયલ મીડિયામાં એ પણ જોઇ લેતા હતા કે પોલીસની તપાસ કેટલે પહોંચી છે. જો આ કેસમાં મુમણ એકલો જ ભાગી ગયો હોત તો નીકિતા આરોપી ન પણ બનત પણ બન્ને સાથે મળીને ભાગ્યા અને પુરાવાનો નાશ પણ કર્યો એટલે નીકિતા પણ આરોપી બની. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. પૌત્રીની નજર સામે જ પતિએ કરી દાદીની હત્યા, વાંચો પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:આજથી ગરમીમાં ક્રમશ: વધારો થશે શનિ-રવિમાં પારો 410ને પાર કરી જશે

છેલ્લા 15 દિવસથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી-ઠંડીની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. મગંળવારે પણ શહેરના વાતાવરણમાં બપોર પછી પલટો આવ્યો હતો. જેને કારણે પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા તેમજ 18 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. તેમજ ગુરુવારથી શહેરમાં ગરમીમાં ક્રમશ: વધારો થશે જ્યારે શુક્રવારથી પારો 40 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 3.6 ડિગ્રી વધીને 36.4 અને લઘુતમ તાપમાન 1.3 ડિગ્રી વધીને 24.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થવાની શક્યતા છે. જેની અસરોથી ગુરુવારથી તાપમાનમાં વધારો થશે. 11 અને 12 એપ્રિલે તાપમાન 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંકિત પટેલે કહ્યું કે, 8 એપ્રિલે ધુપ-છાવનું વાતાવરણ રહેશે, પણ ગુરુવારથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થશે. 5 વર્ષમાં એપ્રિલમાં ગરમી ક્યારે 40 ડિગ્રીએ પહોંચી વર્ષ 40 ડિગ્રી ક્યારે પહોંચી નોંધપાત્ર તાપમાન 2025 5 એપ્રિલ 7 એપ્રિલે 43 ડિગ્રી 2024 15-20 એપ્રિલ 17 એપ્રિલે 42.2 ડિગ્રી 2022 5-10 એપ્રિલ શરૂઆતથી જ આકરો તાપ 2021 15 એપ્રિલ બાદ મધ્ય એપ્રિલમાં ગરમી વધી 2023 એપ્રિલ અંતમાં મોડી ગરમીની શરૂઆત

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સિટી એન્કર:કચ્છના NRI દ્વારા છપૈયાથી ભુજ સુધી 1700 કિમીની રિક્ષા યાત્રા સંપન્ન

મેક એ ચેન્જ ફાઉન્ડેશન - UK દ્વારા કચ્છના NRI લોકોના સહયોગથી સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયાથી પોતાના વતન ભુજ સુધીની એક રિક્ષા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 1700 કિલોમીટર લાંબી આ યાત્રાનું સમાપન ભુજના શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવાનો હતો. આ 7 દિવસીય યાત્રામાં 29 રિક્ષાઓ સાથે કુલ 87 ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં ઇંગ્લેન્ડ, કેન્યા અને ઓસ્ટ્રેલિયા જેવા 3 દેશોના સહભાગીઓ સામેલ હતા. આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ રહી કે ફાઉન્ડેશનના 11 ટ્રસ્ટીઓ (જેમાં 2 મહિલાઓ પણ સામેલ હતી), યુકે સમાજના ખજાનચી અને અનેક મોટા બિઝનેસમેનોએ જાતે રિક્ષા ચલાવીને આ યાત્રામાં પ્રત્યક્ષ ભાગ લીધો હતો. યાત્રા ઉત્તર પ્રદેશના અયોધ્યા, કાનપુર, આગ્રા તેમજ રાજસ્થાનના જયપુર, પાલી થઈને ગુજરાતમાં પાલનપુર અને રાપર માર્ગે ભુજ પહોંચી હતી. ગુજરાત બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા યાત્રીઓ માટે ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાત્રીઓના આરોગ્યની સંભાળ માટે એમ.એમ.પી.જે. હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ અને એમ્બ્યુલન્સની સુવિધા 24 કલાક પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર માર્ગમાં સેવા સાધના સંસ્થા દ્વારા પરંપરાગત વેશભૂષામાં તિલક અને પુષ્પવર્ષાથી યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. રાપર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય બાલકૃષ્ણદાસજીએ યાત્રીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના નિવાસ તથા અલ્પાહારની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. ભુજના સરદાર પટેલ સંકુલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં યાત્રીઓનું બેન્ડ વાજા અને ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મેક એ ચેન્જના પ્રમુખ કિરણભાઈ પીંડોરિયા, લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરિયા અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રવજીભાઈ ખેતાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગોપાલભાઈ ગોરસીયાએ સંસ્થાના 100 ટકા પારદર્શક વહીવટની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે મળેલા ફંડનો ઉપયોગ અન્ય ખર્ચમાં કરવાને બદલે માત્ર સેવા માટે જ થાય છે. નારાણભાઈ વેલાણીએ ફાઉન્ડેશનના હાજીપીર ગામના નિર્માણ સહિતના ભૂતકાળના સેવા કાર્યોની માહિતી આપી હતી. અંતમાં મેક એ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા તમામ સહયોગીઓને મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું આયોજન શ્રી રામજીભાઈ સેંઘાણી અને અશ્વિનભાઈ પાંડોરીયા દ્વારા તેમજ સંચાલન સચિન મેઘાણી અને જેન્તીભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્યોની વણઝારયાત્રાની પૂર્ણાહુતિ બાદ તમામ 29 રિક્ષાઓ કચ્છ અને સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પરિવારોને તેમની આજીવિકા રળવા માટે વિનામૂલ્યે દાનમાં આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત, આ આયોજન થકી મળેલા સહયોગનો ઉપયોગ કેન્યાના આફ્રિકન લોકો માટે આંખોના આરોગ્ય અર્થે યોજાનાર આઈ-કેમ્પમાં કરવામાં આવશે. મેક એ ચેન્જ દ્વારા રાપર સ્થિત સેવા સાધના કચ્છ સંચાલિત કુમાર છાત્રાલયની લાયબ્રેરી માટે કમ્પ્યુટર, ફર્નિચર અને પુસ્તકો વસાવવા 7 લાખ રૂપિયાનું માતબર દાન પણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સમસ્યા:માર્ગ-ગટર બન્યા, રેલવે સ્ટેશન પાસે સમસ્યા યથાવત

વોર્ડ નંબર 2 એટલે ભીડગેટ થી એરપોર્ટ સુધીનો દાદુ પીર રોડને જોડતો વિસ્તાર. અહીંની વસાહત મોટે ભાગે ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતાથી વર્ષોથી પીડાઈ રહી છે. ખાસ કરીને રેલ્વે સ્ટેશનની સામે છેલ્લા પાંચ વર્ષમાંથી ચાર વર્ષ ગંદુ પાણી ભર્યું રહ્યું છે. હાલ રોડનું કામ ચાલુ છે અને ડ્રેનેજ માટે પણ નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે એટલે રાહત મળશે. આ વિસ્તારના એક માત્ર ભાજપના નગરસેવક અને ત્રણ કોંગ્રેસના નગર સેવક છે. ગીતા કોટેજ, મોહમ્મદી કોલોની, બાપા દયાળુ, ગાંધી નગરીમાં નવા માર્ગ બની ગયા છે, સથવારા વાસમાં પણ વર્ષોથી ગટરની લાઇન નહોતી તે નવી નાખવામાં આવી છે. જોકે પાણી વિતરણમાં જોઈએ તેટલો પુરવઠો નથી મળતો તેવું કોંગ્રેસના નગરસેવિકા મંજુલાબેન જગદીશભાઈ ગોર જણાવે છે. ભગત વાડી સહિતના અમુક વિસ્તારોમાં નવી ગટર લાઈન પડી છે સથવારા વાસનો માર્ગ પણ બન્યો છે. આમ એક તારણ એવું નીકળી શકે કે રજૂઆતના પ્રમાણમાં અડધા કામ તો થયા છે. ભીડ ગેટની સામે ઘાસચારા માર્કેટ હજુ પણ ગંદકીથી ખદબદતીરાજાશાહીના સમયથી ભીડ ગેટની સામે ગાયોને ઘાસચારાનું નિરણ કરવા માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. આ જ જગ્યાએથી વરસાદી અને ગટરનું પાણી પસાર થતુ હોવાથી બારે મહિના ગંદકી રહેતી હોય છે. જેના ઉકેલ માટે હજુ સુધી નગરપાલિકાએ ગંભીરતા બતાવી નથી.ગૌવંશ અને ગાયો માટે 6 થી 12 ઇંચ જેટલા કાદવમાં 10-10 કલાક સુધી ઉભા રહેવું એટલે પગના રોગને આમંત્રણ આપવા જેવું છે. સુધરાઇના સત્તાધિશોએ જીવદયા પણ બતાવવી રહી. રેલવે ફાટક દૂર કરીને ત્યાં આરઓબી જરૂરી બન્યો છેવોર્ડ નંબર બે માં આવેલું રેલવે સ્ટેશન અને તેની નજીકથી પસાર થતો માર્ગ છે હવે વાહન વ્યવહાર વધવાથી 24 કલાક ધમધમતો રહે છે. હોટલ ડોલર પાસે રેલવે ફાટક વર્ષોથી જે પહોળાઈનો છે તે જ છે, જ્યારે ટ્રાફિકનું ભારણ વધ્યું છે. માટે આ વિસ્તારમાં જો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અકસ્માતની શક્યતા ઘટે તેમજ વાહનો પણ સરળતાથી પસાર થઈ શકે. વિસ્તાર: સથવારા વાસ, કોલીવાસ, એરપોર્ટ રોડ, દાદુપીર રોડ, વાલ્મિકી વાસ, શાંતિનગર, શિવનગર, આઝાદ નગર, શેખ ફળિયા, ચાંદ ચોક, એરફોર્સ, એમઇએસ કોલોની, સિતારા ચોક, કુંભારવાસ, સોનપુરી સ્મશાન વેગેરે મતદારોની સંખ્યા પુરુષ 5,722સ્ત્રી 5,509ત્રીજી જાતિ - કુલ 11,231

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

મ્યુનિ. ચૂંટણી:સગાં-અંગત વ્યક્તિને ટિકિટ અપાવવા ભાજપ-કોંગ્રેસના નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું

કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોના ધારાસભ્યોએ પોતપોતાના માનીતાને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે, જેથી પાયાના કાર્યકરોમાં અસંતોષ છે. જમાલપુર ખાડિયા, એલિસબ્રિજ અને ઠક્કરબાપાનગરના ધારાસભ્યોએ તેમના અંગત લોકોને ટિકિટ મળે તે માટે લોબિંગ શરૂ કર્યું છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે આગામી ચૂંટણીમાં ‘લગ્નના ઘોડા’ને બદલે ‘રેસના ઘોડા’ (સક્ષમ ઉમેદવારો) ને મેદાનમાં ઉતારવામાં આવશે. જોકે, વર્તમાન સ્થિતિ જોતા આ વાત માત્ર ભાષણ પૂરતી સીમિત રહી હોય તેવું લાગે છે. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય જમાલપુર વોર્ડની અનામત બેઠક માટે પાલડીના રહેવાસી ડો. વસીમ ઠાકોર અને તેમના પત્ની માટે લોબિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. સ્થાનિક કાર્યકરોનો આરોપ છે કે, વસીમ ઠાકોરે 2021ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા એઆઈએમઆઈએમ માટે પ્રચાર કર્યો હતો. ભાજપમાં પણ હવે પરિવારવાદનો પંજો ઠક્કરબાપાનગરમાં સગાવાદ : ધારાસભ્યએ પોતાના અંગત સંબંધી માટે ટિકિટની માગણી કરી. જોકે, ધારાસભ્યનો દાવો છે કે તેઓ સંબંધી નહીં પણ ‘સંનિષ્ઠ કાર્યકર’ છે. હોદ્દેદારોને જ ટિકિટનો મોહ : આ સંબંધીઓ પક્ષમાં પહેલેથી જ હોદ્દા ભોગવી રહ્યા છે, છતાં તેમને જ ચૂંટણીમાં ઉતારવાની પેરવી થતા સામાન્ય કાર્યકરોમાં નારાજગી છે. એલિસબ્રિજમાં પૂર્વ ધારાસભ્યની એન્ટ્રી : એલિસબ્રિજના ધારાસભ્યએ જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્યની ભત્રીજી માટે ટિકિટ માંગી છે. પાલડી કનેક્શન : ધારાસભ્યની દલીલ છે કે આ મહિલા કાર્યકર છેલ્લા 20 વર્ષથી પાલડીમાં રહે છે અને પક્ષ માટે સક્રિય હોવાથી તેમને ટિકિટ મળવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સિટી એન્કર:હવે સર્જરી વિના પાઇલ્સ, દવા વિના મેદસ્વિતા પર કાબૂ મેળવી શકાશે, શહેરના નેશનલ ફાર્મા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ત્રણ હેલ્થ પ્રોડક્ટ વિકસાવી

શહેરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઈપર)માં વૈજ્ઞાનિકોએ પાઇલ્સ, મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યાઓ માટે નવાં ફોર્મ્યુલેશન તૈયાર કર્યાં છે. નાઈપરના પ્રોફેસર ડો. રાકેશ ટેકાડેના જણાવ્યા મુજબ આ સંશોધન પર ટીમે 3 વર્ષ સુધી મહેનત કરી છે. સંશોધન હેઠળ કુલ 3 પ્રોડક્ટ વિકસાવાઈ છે, જેમાં પાઈલ્સ માટે 2 (ઇન્ટરનલ અને એક્સટર્નલ) અને મેદસ્વિતા માટે એક પ્રોડક્ટ સામેલ છે. લેબ ટેસ્ટ સફળ રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ટેક્નોલોજી ટ્રાન્સફર હેઠળ આ પ્રોડક્ટ બજારમાં આવવાની તૈયારીમાં છે. એક્સટર્નલ પાઇલ્સ માટે લાંબા સમય સુધી અસર કરતું સોલ્યુશનબાહ્ય પાઈલ્સમાં દર્દીને સૌથી વધુ દુખાવો સોજો-ઈરિટેશનને કારણે થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્યૂબ આધારિત ક્રીમ દવા તૈયાર કરાઈ છે. આ ક્રીમ સીધી અસરગ્રસ્ત જગ્યાએ લગાવી શકાય છે, જેનાથી તે ઝડપથી શોષાઈ જાય છે અને તરત અસર બતાવે છે. આ દવા કેમ અસરકારક?સોજામાં ઝડપી ઘટાડો. ઈરિટેશન-બળતરા ઓછી થાય બેસવા અને ચાલવામાં સરળતા , દૈનિક જીવનમાં આવતી તકલીફમાં ઘટાડો. ઇન્ટર્નલ પાઇલ્સ માટે લાંબા સમય સુધી અસર કરતું સોલ્યુશનઆંતરિક પાઈલ્સની સારવારમાં સૌથી મોટી સમસ્યા એ છે કે સામાન્ય દવાઓ અસરગ્રસ્ત આંતરિક ભાગ સુધી યોગ્ય પહોંચી શકતી નથી અથવા લાંબા સમય સુધી રહી શકતી નથી. આને ધ્યાનમાં રાખીને નાઈપરના વૈજ્ઞાનિકોએ ખાસ ટેક્નોલોજી આધારિત સોલ્યુશન તૈયાર કર્યું છે, જે દવાને અસરગ્રસ્ત ભાગમાં વધુ સમય સુધી જાળવી રાખે છે. આ દવા કેમ અસરકારક?બ્લીડિંગ, દુખાવો, સોજામાં ઘટાડો-રાહત, લાંબા ગાળે સર્જરીની જરૂરિયાત ઘટી શકે મેદસ્વિતા માટે ગમીસ ટાઈપ ઈઝી ટુ ઈટ સોલ્યુશનચાવી શકાય તેવી આ હેલ્થ પ્રોડક્ટ ડ્રગ ફ્રી છે. દવાઓ વગરનું સોલ્યુશન હોવા છતાં અસરકારક ફાયદો: વજન નિયંત્રણમાં સહાય, વધતી ભૂખ પર કાબૂ મેળવવામાં મદદ, શરૂઆતના સ્ટેજમાં બીમારીને કંટ્રોલ કરવાની તક, લાંબી, ખર્ચાળ સારવારમાં ઘટાડો કરે, ઘરે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી પ્રોડક્ટ

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

લોહીનો સંબંધ:બંને કિડની ફેઈલ થઈ જતાં સુરેન્દ્રનગરની બહેને ડાકોર સ્થિત ભાઈને કિડની આપી નવજીવનબક્ષ્યું

આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધો માત્ર સ્વાર્થ પૂરતા મર્યાદિત બનતા જાય છે, ત્યાં સુરેન્દ્રનગરની એક મહિલાએ પોતાના ભાઈ પ્રત્યેના અતૂટ પ્રેમ અને સમર્પણનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રનગરની હરિપ્રકાશ સોસાયટીમાં રહેતા દીપિકાબેને ડાકોર ખાતે રહેતા અને બંને કિડની ફેલ થવાથી પોતાના ભાઈ પ્રિતેશભાઈને પોતાની કિડની દાનમાં આપીને નવું જીવન બક્ષ્યું છે. બ્લડ રિલેશનમાં કિડની વધુ સફળતાપૂર્વક મેચ થાય છે તેવી જાણકારી મળતા જ બહેને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અંગદાનનો નિર્ણય લીધો હતો. સુરેન્દ્રનગરમાં રહેતી મહિલાએ ડાકોર રહેતા ભાઈને કિડની આપી ભાઈ-બહેનના પવિત્ર સબંધને ઉજળો કર્યો છે. મૂળ ડાકોરના 48 વર્ષીય પ્રિતેશભાઈ તેજાભાઈ દેસાઈ છેલ્લા 12-15 વર્ષથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા, જેમાં દર મહિને અંદાજે 25 હજાર રૂપિયાનો જંગી ખર્ચ થતો હતો. તાજેતરમાં તેમની બંને કિડની ફેલ થતા તબીબોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. આ કપરા સમયે સુરેન્દ્રનગર ખાતે સાસરી ધરાવતા તેમના બહેન 46 વર્ષીય દીપિકાબેન સંદિપભાઇ પાણકુટા વહારે આવ્યા હતા. દીપિકાબેને સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા અને તેની સુરક્ષા વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ભાઈને બચાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. યુટ્યુબ પર ટ્રાન્સપ્લાન્ટની વિગતો જાણી દીપિકાબેને લીધો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. ભાઇને કીડની આપવાની નિર્ધાર કર્યા બદા નડીયાદની મહાગુરાત હોસ્પિટલમાં કીડની ટ્રન્સ પ્લાન્ટનું સફળ ઓપરેશન થયું હતું. પતિ, સાસરી પક્ષનો સહકાર મળ્યોઆ નિર્ણયમાં દીપિકાબેનના પતિ સંદીપભાઈ પાણકુટા જેઓ દૂધ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સમગ્ર સાસરી પક્ષે ખુલ્લા દિલથી સહમતિ આપી હતી. હરિપ્રકાશ સોસાયટીના પડોશીઓ શીતલબેન મકવાણા અને સંગીતાબેન સહિતના રહીશોએ તેમનું સન્માન કરી તેમની હિંમતને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

કાર્યવાહી:લાઈસન્સ વગર ધમધમતી 12 પેઢીમાં દરોડા : 45 સેમ્પલ લીધા

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય સાથે ચેડા કરીને ખાદ્યચીજવસ્તુઓના વેપારીઓ લોકોને પધરાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં મસાલાની સિઝન હોવાથી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં મસાલાના વેચાણ તથા ઉત્પાદન કરતી પેઢીઓમાં મંગળવારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. આરોગ્ય માટે હાનિકારક શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના સેમ્પલોની કામગીરી કરવામાં આવી હતી. ફૂડ ઇન્સ્પેકટર પી.બી.સાવલીયા, એસ. જે.પ્રજાપતિ સહિતની ટીમે સિઝનબલ ટેમ્પરારી એવી લાયસન્સ વગરની ધમધમતી 12 પેઢી પર દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ કરતા ધાણાજીરૂ, મરચા, હળદર, રાઇ, હીંગ અને જીરૂ સહિતના 45 નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો ભુજની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. અઠવાડીયામાં લાઈસન્સ નહીં લે તો કાર્યવાહીતમામ પેઢીને એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન લાઇસન્સ લેવા, એફએસએસએઆઈના નિયમ મુજબ ચોખાઇ તથા હાઇજીન રાખવા તેમજ ફ્રેસ રો-મટિરિયલનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જો આ પેઢીઓ અઠવાડીયામાં લાઈસન્સની કાર્યવાહી નહી કરે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. - પી.બી.સાવલીયા, ફૂડ ઇન્સ્પેકટર જિલ્લામાં માર્ચમાં કુલ 38 સેમ્પલ લેવાયામાર્ચ માહિનામાં સર્વેલન્સ તેમજ રેગ્યુલર સહિત લસ્સીના 2, મઠ્ઠો, વણેલા ગાઠીયા, અડદની દાળ, સેવ મમરા, રાઇઝના 2, દાળફ્રાઇ,ટીડોરાનં શાક, પનીરટીકા, ચાનો માસલા, રાજમા મસાલા, મગનુ શાક, મગની દાળ, શરબત, ગોળ, ચણા, ટુટીફૂટી, છાસ વગેરે 38 નમૂના લેવાયા હતા. જ્યારે અગાઉના 10 સેમ્પલોના રિપોર્ટમાં એક સેવ ફરસાણનો નમૂનો ફેલ થયો હતો. ગુજરાત મસાલા સહિતની પેઢીઓમાં ચેકિંગશહેરના રિવરફ્રન્ટ રોડ પર આવેલી ફેમશ મસાલા સેન્ટર, વતન મરચા ઘર, મીલન મસાલા, અંબર મરચા સેન્ટર, વતન મસાલ ઘર, ગુજરાત માસાલ, જ્યારે 80 ફૂટ રોડ પર આવેલ નસીબ મરચા સેન્ટર, ગુજરાત મસાલા, દૂધરેજ રોડ પર આવેલ જી.એલ. મરચા સેન્ટર, ઝાલાવાડ મરચા સેન્ટર, નસીબ મસાલા ભંડાર અને સરકાર મરચા સહિત 12 પેઢીઓમાં ચેકિંગ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

કરૂણાંતિકા:ચુડાના ઝોબાળા ગામના તળાવમાં‎ડૂબી જવાથી એક કિશોરનું મોત‎

ચુડાના ઝોબાળા ગામે તળાવમાં ન્હાવા પડેલા 14 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ન્હાવા ગયેલો ધો.9નો વિદ્યાર્થી પાણીમાં ગરકાવ થયો હતો. તેની અંતિમયાત્રામાં ગામ આખું હિબકે ચઢ્યું હતું. ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં રહેતા જગદીશભાઈ કાલિયાનો 14 વર્ષીય પુત્ર કુલદીપ ધો.9માં અભ્યાસ કરતો હતો. સોમવારે બે મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા માટે ગયો હતો. હસતા-રમતા બાળકોને ખ્યાલ નહોતો કે આ આનંદની પળો માતમમાં ફેરવાઈ જશે. ન્હાતી વખતે કુલદીપ અચાનક તળાવના ઊંડા પાણીમાં જતો રહ્યો હતો. જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને ડૂબતો જોઈ મિત્રોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમો સાંભળી નજીકમાં રહેતા હસમુખભાઈ ચેખલિયા તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અડધી કલાકની જહેમત બાદ કુલદીપને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તેને સારવાર અર્થે રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ કુલદીપને મૃત જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સત્તા માટે નહીં‎ સમસ્યાના ઉકેલ માટે મતદાન‎:સુરેન્દ્રનગર, વઢવાણની બોર્ડર પરના વોર્ડ નં. 11માં સૌથી ઓછા મતદારો

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ‎‎ચૂંટણીમાં ગામડાઓ ભળવાને ‎‎કારણે વોર્ડ મોટા થયા છે અને ‎‎મતદાનમાં પણ વધારો થયો છે.‎ત્યારે જોરાવરનગર અને‎વઢવાણની બોર્ડર ઉપર આવેલા‎વોર્ડ નં. 11 એવો છે કે જેના મતમાં ‎‎3125નો ઘટાડો થયો છે.‎ગત ચૂંટણીમાં આ વોર્ડમાં‎15056 મતદારો હતા. જ્યારે આ‎ચૂંટણીમાં 11931 મતદારો છે. તેનું‎મુખ્ય કારણ વઢવાણના જે‎વિસ્તારો હતા તેનો વોર્ડ નં. 12માં‎સમાવેશ કરવામાં આવ્યો અને‎જોરાવરનગરમાંથી આ વોર્ડમાં‎ઓછા વિસ્તારોનો સમાવેશ થતા‎વોર્ડ નાનો થઇ ગયો હતો. વોર્ડ‎નાનો હોવા છતાં હાર જીત માટે‎રસા કસી જામશે. મનપામાં નવા‎વોર્ડની રચના કરવામાં આવી તેમાં‎પાલિકાના સમયમાં વઢવાણનો‎ દાજીપરા, શિવરંજની અને રેલવે‎સ્ટેશનની આજુ બાજુ તથા‎ડાંગસીયા વસાહતનો વોર્ડ નં‎12માં સમાવેશ કરવામાં આવ્યો‎છે. જ્યારે સામે જોરાવરનગર‎રેલવે સ્ટેશન, લાતી બજાર, કંસારા‎બજારનો આ વોર્ડમાં સમાવેશ‎કરવામાં આવ્યો છે.‎ જેમાં વઢવાણના વધુ મત વોર્ડ‎નં 12માં જતા રહેતા આ વોર્ડ‎નાનો થઇ ગયો છે. ગત પાલિકાની‎ચૂંટણીમાં આ વોર્ડ માંથી 3‎ભાજપ અને 1 કોંગ્રેસના ઉમેદવાર‎વિજયી થયા હતા.‎

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

કલેકટરની અધ્યક્ષતામાં બેઠક:9 અને 10 એપ્રિલના તાલુકા મથકો પર 10 હજાર કર્મચારીઓને અપાશે ચૂંટણીની તાલીમ

કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કલેક્ટર તંત્ર દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે જિલ્લામાં ઉપલબ્ધ 9 હજાર જેટલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું ‘ફર્સ્ટ લેવલ ચેકિંગ’ આજે સાંજે પૂર્ણ થશે. આગામી 11 એપ્રિલના રોજ આ તમામ ચેક થયેલા EVM મશીનોને જે-તે તાલુકા મથકો પર રવાના કરવામાં આવશે. ત્યાં આ મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે ‘સ્ટ્રોંગ રૂમ’માં રાખવામાં આવશે. મતદાનના એક દિવસ પૂર્વે, કચ્છના તમામ 1896 મતદાન મથકો પર બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવશે, જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ અવરોધ ન આવે. ચૂંટણી કામગીરીમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે આગામી 9 અને 10 એપ્રિલના રોજ જિલ્લાના 10 હજાર જેટલા કર્મચારીઓ માટે તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં મતદાન પ્રક્રિયા, EVMનું સંચાલન, ફોર્મ ભરવાની પદ્ધતિ અને આકસ્મિક સંજોગોમાં લેવાના પગલાં અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 8355 જેટલા અધિકારી-કર્મચારીઓ મતદાન મથકો મતદાનના દિવસે હાજર રહેશે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રહે તે માટે 1178 પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત માટે એક્શન પ્લાન ઘડાયોકચ્છ જિલ્લામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છના બંને એસપી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યાપક ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ ઇવીએમ મશીનો સુરક્ષિત રીતે પહોંચાડવા માટે પોલીસ સ્કોર્ટિંગની વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઉપરાંત દરેક મતદાન મથક પર પૂરતી સુરક્ષા ગોઠવવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે એક સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ચૂંટણી:ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તા. 11, કાલે બંને પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરશે

નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ દિવસેને દિવસે તેજ થઈ રહી છે. ઉમેદવારી ફોર્મ વિતરણની પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ ગઈ છે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અને સબમિટ કરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. એટલે કે હવે ઉમેદવારો નક્કી કરવાનો પક્ષના નેતાઓ પાસે ફક્ત ત્રણ દિવસનો જ સમય બાકી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હજુ સુધી બે મોટા રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસે તેમની સત્તાવાર ઉમેદવાર યાદી જાહેર કરી નથી. આ મુદ્દે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલને પૂછતાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ આવતીકાલે એટલે કે 9 એપ્રિલે તેમની ઉમેદવારોની યાદી જાહેર કરશે, ત્યારબાદ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થશે. બીજી તરફ ભાજપના સૂત્રો મુજબ પણ 9 એપ્રિલ સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે પક્ષના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો મિટિંગમાં વ્યસ્ત હોવાથી આ બાબતે સ્પષ્ટ સત્તાવાર નિવેદન મળી શક્યું નથી. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉતારશે, પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ થશે. બંને પક્ષો પોતાના મતવિસ્તારમાં મજબૂત અને જીતાડી શકે તેવા ઉમેદવારો પસંદ કરવા માટે અંતિમ તબક્કાની ચર્ચાઓમાં વ્યસ્ત છે. આંતરિક સર્વે, સ્થાનિક સમીકરણો અને કાર્યકર્તાઓના પ્રતિસાદના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. હાલમાં ઉમેદવારી પ્રક્રિયાનો સમય ઓછો રહ્યો હોવાથી બંને પક્ષો ઝડપથી નિર્ણય લઈ રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી માટે ભાજપ સક્રિય !કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની માહિતી મેળવવા ભાજપના દાવેદારો સક્રિય બન્યા છે. શહેરના 11 વોર્ડની કુલ 44 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. બંને પક્ષોમાં દાવેદારોની યાદી અંગત સંબંધે મેળવવા માટે કોશિશ થઈ રહી છે, ત્યારે ભાજપના સંભવિત ઉમેદવારો પોતાના વોર્ડમાં સામે પક્ષના દાવેદારો અંગે માહિતી એકત્ર કરી રહ્યા છે. આ સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે જીત સુનિશ્ચિત કરવા રાજકીય સ્તરે વ્યૂહરચનાઓ તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

કામગીરી:પાલનપુર પોલિટેકનિક કોલેજ પાસે મૃત પશુઓનો નિકાલ

પાલનપુરમાં પોલિટેકનિક કોલેજના દરવાજા નજીક કુતરાના મૃતદેહનો નિકાલ કરવામાં આવતાં છાત્રો, સ્ટાફ અને આજુબાજુની સોસાયટીના રહીશોમાં રોષ ઉદ્ભવ્યો છે. મૃતદેહ હટાવી લેવાની માંગ છે. પાલનપુર માલણ દરવાજાથી પોલિટેકનિક કોલેજ માર્ગ ઉપર કોલેજના દરવાજા નજીક દિવાલને અડીને દોરીથી બાંધીને કુતરાનો મૃતદેહ ફેંકી દેવાયો છે. સ્થાનિકોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે, વારંવાર અહિંયા પશુઓના મૃતદેહ ફેંકવામાં આવી રહ્યા છે. આવા શખ્સો સામે કાર્યવાહી કરવા નગરપાલિકામાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. આ અંગે સેનિટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્વરિત મૃતદેહ હટાવી લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ધરપકડ:4 વર્ષિય બાળકનું અપહરણ,પોલીસે CCTV ફુટેજ-ફોટો વાયરલ કરી કલાકોમાં શોધી કાઢ્યો

વડગામના ધનપુરા પાટિયા નજીક ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતા પરિવારના 4 વર્ષના બાળકને ભૂખ લાગતા રોટલી માંગવા ગયો હતો. ત્યારે બાળકને રૂ.10ની લાલચ આપી કાર ચાલક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. બપોરે જ્યારે પરિવાર ઘરે આવ્યું અને બાળક ન દેખાયું એટલે તપાસ કરતા બાળકને કારમાં આવેલો કોઈ યુવક ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાનના પાલીથી સુજારામ રાણારામ ભીલ સોમવાર સવારે પોતાની પત્ની અને સાળા સાથે જલોત્રા ગામે ભિક્ષા માંગવા ગયા હતા, જ્યારે તેમના ત્રણ બાળકો ધનપુરા પાટિયા પાસે રમી રહ્યાં હતા. બપોરે 1 વાગ્યે પરત ફરતા તેમનો પુત્ર દેવ ઉર્ફે બાબુ ગુમ હતો અને અન્ય બાળકો રડતા હતા. બાળકોને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, દેવ ભૂખ લાગતા રોટલી માંગવા ગયો હતો. તે દરમિયાન એક અજાણી કાર આવી હતી, જેમાંથી ઉતરેલા એક શખ્સે રૂ.10ની લાલચ આપી દેવને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો. જે બાદ ગભરાઈ ગયેલા પરિવારજનોએ આસપાસ શોધખોળ કરી છતાં કોઈ ભાળ મળી નહોતી. એટલે વડગામ પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી પી.આઈ. નિલેશ સોલંકીની આગેવાનીમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દરેકને તાકીદ કરી હતી જેનું પરિણામ એ આવ્યું કે પાલનપુર વડગામ અને દાંતાના ગામોમાં આ ઘટના તીવ્ર ગતિથી અત્યંત વાયરલ થઈ ગઈ હતી. અને પોલીસને કાર અંગેની ખાનગી બાતમી મળતા દાંતાના નારગઢ પાસેથી કારને પકડી પાડવામાં આવી હતી જેની અંદરથી બાળક પણ સહી સલામત મળી આવ્યો હતો. મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે એટલે યુવકની અટક દર્શાવાઇ નથી: વડગામ પોલીસબાળકને અપહરણ કરવાની સંવેદનશીલ ઘટનામાં આરોપીની ઓળખ છતી થાય તો અન્ય આરોપીઓને ફરાર થવાનો મોકો મળી જાય એટલે જેને બાળક સાથે ઝડપી લેવાયો છે તેની અટકાયત જાહેર કરાઈ નથી. બાળ તસ્કરી હોવાની પોલીસને આશંકાબે મહિના પહેલા બાળ તસ્કરી કાંડમાં બનાસકાંઠાના ગરીબ મજૂર દંપતીએ પોતાનો 10 દિવસનો પુત્ર આર્થિક સંકટને કારણે વેચી દીધો હતો જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દંપતી સહિત અત્યાર કુલ 9 ધરપકડ કરી છે. તપાસમાં 2 વર્ષમાં ઓછામાં ઓછા 20 આદિવાસી બાળકોને હૈદરાબાદમાં વેચાયા હોવાની શંકા છે. ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં એજન્ટો ગરીબ પરિવારોને નિશાન બનાવી રૂ.5 લાખથી 15 લાખ સુધીમાં બાળકોનું સોદાબાજી કરતા હતા. આ કેસમાં વધુ આરોપીઓ, એજન્ટો અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના જોડાણોની તપાસ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ફરિયાદ:તાંત્રિક વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ,ધર્મ પરિવર્તન કરાવ્યું

પાલનપુરમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ અખ્તરશા રજબશા ફકીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગંભીર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,પીડિતાની માંદગીનો લાભ ઉઠાવી અખ્તરશાએ તેના તાંત્રિક દાદા પાસે વિધિ કરાવવાના બહાને સંપર્ક વધાર્યો હતો. ત્યારબાદ, પીડિતાના પતિ સાથેના અણબનાવનો ફાયદો ઉઠાવી આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને બળજબરીથી બુરખો પહેરાવી રાખતો અને કલમા પઢાવતો હતો. ડરાવી-ધમકાવી ધાર્મિક સ્થાને લઈ જઈ બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો અને તેનું નામ ‘આઈશાબાનુ’ રાખ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ પીડિતાના વાંધાજનક ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. વધુમાં, આરોપીએ પીડિતાને અન્ય પુરુષોને ફસાવવા મજબૂર કરી હતી જેથી તે હનીટ્રેપ દ્વારા પૈસા પડાવી શકે. જ્યારે પીડિતા ગર્ભવતી બની ત્યારે આરોપીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી હતી. પીડિતાએ પરિવારની મદદથી પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી છે. પીડિતા મારફતે હની ટ્રેપ કરાવતો આરોપી અખ્તરશા પીડિતાનો ઉપયોગ કરી લોકોને ફસાવતો હતો. પીડિતા પાસે વિડીયો કોલ કરાવી લોકોને ઘરે બોલાવી તેના સંબંધીઓ (દિલાવરશા અને સાહીલ) સાથે મળી વિડીયો ઉતારી તોડબાજી કરવાનું આખું નેટવર્ક ચલાવતો હતો. ઓળખ છુપાવવા નકલી આધારકાર્ડ બનાવ્યું પીડિતાને ઘરની સાફ-સફાઈ દરમિયાન એક શંકાસ્પદ આધાર કાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડમાં ફોટો આરોપી અખ્તરશાનો હતો, પરંતુ નામ પીડિતાના પતિનું લખેલું હતું. આ બાબતે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે મુસ્લિમ હોવાથી તેને કોઈ ભાડે મકાન આપતું ન હતું, તેથી તેણે રહેઠાણ મેળવવા માટે આ રીતે નકલી દસ્તાવેજ તૈયાર કરાવ્યો હતો. આમ, આરોપીએ પીડિતાના પતિની ઓળખનો દુરુપયોગ કરી કૌભાંડ આચર્યું હતું. મુખ્ય આરોપી સહિત 5 શખ્સો સામે ફરિયાદ1. અખ્તરશા રજબશા ફકીર (રહે. પેંગીયા, તા. ધાનેરા) - મુખ્ય આરોપી. 2. દિલાવરશા હબીબશા જુનેજા (અખ્તરશાના મામાનો દીકરો, રહે. ચાંગડા, તા. થરાદ) - જે વીડિયો ઉતારવામાં અને દુષ્કર્મમાં સંડોવાયેલ છે. 3. સાહીલ ફતુશા ફકીર (અખ્તરશાના કાકાનો દીકરો, રહે. જુના ડીસા) - જેણે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. 4. આરીફ રજબશા ફકીર (અખ્તરશાનો સગો ભાઈ) - જેણે નગ્ન ફોટાના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું. 5. ઇલીયાસ રજબશા ફકીર (અખ્તરશાનો સગો ભાઈ) - જેણે પણ પીડિતાને બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ શરીર સુખ માણ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

છેતરપિંડી:વ્હોટ્સએપમાં મેસેજ બાદ આર્મીના ઇજનેર સાથે લોનના નામે 15.50 લાખની ઠગાઈ

શહેરમાં આવેલ આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા યુવાન સાથે રૂપિયા 15.50 લાખની ઠગાઈ થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી ચીટરે આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સ ફંડમાંથી લોન અપાવ્યા બાદ યોનો એપ્લીકેશન મારફતે રૂપિયા પડાવી લઇ છેતરપિંડી આચરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અને હાલ ભુજના આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ફરિયાદી ઉમેશકુમાર રામવિશ્વાસ પાલે બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે સાગર ગુલેરિયા નામના આરોપી સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 10 માર્ચના આર્મીના વોટ્સએપ ગ્રુપ 143 માં લવકુશ અહીરવારે કોઈને આર્મી ગ્રૂપ ઇન્સ્યુરન્સ ફૂડ (AGIF) માથી લોન જોઇતી હોય તો જણાવજો તેવો મેસેજ નાખેલ હતો. જેથી ફરિયાદીએ તેની સાથે વાત કરતા પોતે પણ લોન કરાવેલ હોવાનું કહી આરોપીનો મોબાઇલ નંબર ફરિયાદીને આપ્યો હતો. આરોપી સાથે વાત કરતા પોતે પણ આર્મીમા ફરજ બજાવતો હોવાનું અને જવાનોને લોન મંજુર કરાવવા મદદ કરતો હોવાનુ જણાવ્યું હતું. ફરિયાદીએ રૂપિયા 15 લાખની લોન માટે આરોપીને વાત કરતા આરોપીએ 13 લાખ સબસીડી અને 2 લાખ ભરવાનું કહ્યું હતું. જે બાદ ફરિયાદી પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ, આર્મી કાર્ડ, બેન્ક પાસબુક, છેલ્લા છ મહિનાની પગાર સ્લિપ, પાસપોર્ટ સાઇઝ ફોટો જેવા ડોક્યુમેન્ટ લીધા હતા. ફરિયાદીને મેઈલ મારફતે રૂપિયા 16.15 લાખની લોન થઇ ગયેલી હોવાનું જાણવા મળ્યા બાદ આરોપીએ વિશ્વાસમાં લઇ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 15.50 લાખ મેળવી લઇ પરત આપ્યા ન હતા. લોન બાબતે સલાહ આપનાર પણ ભોગ બન્યો !ફરિયાદીના ખાતામાં લોનના રૂપિયા જમા થયા બાદ આરોપીએ આ રૂપિયા આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સ ફંડના ખાતાઓમાં જમા કરાવવા પડશે અને બાદમાં એકસાથે ફરિયાદીના ખાતામાં જમા થાય ત્યારે ઉપાડી શકાશે તેવું કહ્યું હતું. જે બાદ આરોપીએ Yono એપ્લિકેશન મારફતે ફરિયાદીના ખાતામાંથી રૂપિયા સેરવી લીધા હતા. આ બાબતે ફરિયાદીએ પોતાના મિત્ર લવકુશ અહીરવારને વાત કરતા આ ફ્રોડ હોવાનું અને પોતે પણ ભોગ બનેલ હોવાનુ જણાવ્યું હતું. જે મામલે 27 માર્ચના સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર 1930 પર ફરીયાદ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ફરિયાદ:હિંમતનગરમાં 10 લાખની સામે 60 લાખ વસૂલતાં વ્યાજખોર સામે ગુનો

તાજેતરમાં હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસંધાને હાજર થઈ છૂટી ગયેલ વ્યાજખોર વિરુદ્ધ હિંમતનગરના ચિસ્તીયાનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતાં શખ્સે જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કર્યા બાદ બી ડિવિઝન પોલીસે સોમવારે મોડી સાંજે વધુ એક ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ચિસ્તીયાનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતાં નઝરમોહમદ ઈદ્દીશભાઈ મેમણે વ્યાજખોરના ત્રાસથી કંટાળી પોલીસના દ્વાર ખખડાવ્યા છે. ​ઘટનાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. નઝરમોહમદને પોતાના કપડાંના ધંધા માટે પૈસાની જરૂર પડતાં તેમણે હિંમતનગરના જ ફિરોજખાન ઉર્ફે વકાર ઇકબાલભાઇ પઠાણ પાસેથી 10 ટકાના ઊંચા વ્યાજદરે 10 લાખ ઉછીના લીધા હતા. ગેરંટી પેટે ફિરોજખાન પઠાણે નઝરમોહમદ અને તેની પત્નીના સહી કરેલા 10 કોરા ચેક પણ લખાવી લીધા હતા. ​નઝરમોહમદના જણાવ્યા મુજબ તેણે છેલ્લા પાંચ વર્ષમાં દર મહિને 1 લાખ લેખે કુલ 60 લાખ તો માત્ર વ્યાજ પેટે ચૂકવ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2023માં તેમણે મુડી પેટે બીજા 5 લાખ પણ પરત કર્યા હતા. આમ છતાં, વ્યાજખોર ફિરોજખાનની ભૂખ સંતોષાઈ નહોતી. તેણે નવો હિસાબ કાઢી હજુ 15 લાખ બાકી હોવાનું જણાવી દર મહિને 15હજારની પેનલ્ટી વસૂલવાનું શરૂ કર્યું હતું. વ્યાજખોર નઝરમોહમદને જાહેરમાં ઉભા રાખી બિભત્સ ગાળો આપવી ઘરે જઈ તેની પત્ની અને બાળકોને ઉઠાવી જવાની ધમકી આપતો હતો. જેથી નઝરમોહમદ ડરના માર્યા અમદાવાદ રહેવા જતા રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

તપાસ:ખેડબ્રહ્મા તાલુકાના નાકા પાસે જંગલમાંથી છાત્રનું કંકાલ મળ્યું

ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામ પાસેના જંગલમાંથી વિદ્યાર્થીનું કંકાલ અને તેના અભ્યાસની નોટબુક અને ચોપડીઓ મળતાં ચકચાર મચી હતી. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પોશીનાના દેડકા ગામનો વિદ્યાર્થી ગત ઓગસ્ટ મહિનાથી ગુમ હોવાનું બહાર આવ્યું હતું. ખેડબ્રહ્માના નાકા ગામ પાસેના જંગલમાં વિદ્યાર્થીનુ કંકાલ મળી આવ્યું હતું. જેની જાણ થતાં પોલીસે સ્થળ તપાસ કરતાં તેની પાસેથી અભ્યાસના પુસ્તકો વિગેરે મળ્યા હતા. તેના આધારે તપાસ કરતાં આ નરકંકાલ પોશીનાના દેડકા ગામના ધોરણ 10 ના વિદ્યાર્થી સિરાજભાઈ બકાભાઈ પરમારનું હોવાનું માલૂમ પડ્યું હતું. સિરાજ ગત 19 ઓગસ્ટ 2025થી ગુમ હતો અને આ અંગે ખેરોજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

તસ્કરી:શંખલપુર મંદિરે ડૉક્ટરનો રૂ.3 લાખનો સોનાનો દોરો ચોરાયો

યાત્રાધામ બહુચરાજી પાસે આવેલા શંખલપુર બહુચર માતાજીના મંદિરે ચૈત્રી પૂનમની રાત્રે દર્શન કરવા ગયેલા ડૉક્ટરના ગળામાંથી અજાણ્યો શખ્સ ભીડમાં રૂ.3.07 લાખની કિંમતનો સોનાનો દોરો ચોરી ફરાર થઈ ગયો હતી. જે મામલે બહુચરાજી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના અને હાલ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતા ડૉ. નિસર્ગ જીતેન્દ્રકુમાર પટેલ ગત ગુરુવારે ચૈત્રી પૂનમ નિમિત્તે પત્ની તેમજ સાસુ અને સાળી સાથે શંખલપુર મંદિરે માતાજીની પાલખીના દર્શન કરવા આવ્યા હતા. રાત્રિના 11 વાગ્યાના અરસામાં તેઓ મંદિરની આગળ પાલખીના દર્શન માટે ભીડમાં ઉભા હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેમની નજર ચુકવી ગળામાં પહેરેલો આશરે 20 ગ્રામ સોનાનો દોરો તોડી ગયો હતો. તેની જાણ થતાં ડૉક્ટરે આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં આખરે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:RTE પ્રવેશ માટે ડેડલાઇન પહેલાં ભાડા કરારના ટોકન નહીં મળતાં પરેશાની વધી

RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ મહેસાણામાં ભાડાના મકાનમાં રહેતા વાલીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. રજીસ્ટર્ડ ભાડા કરાર વગર ફોર્મ સબમિટ ન થઈ શકતાં અનેક પરિવારો હાલ મૂંઝવણમાં મુકાયા છે. મહેસાણા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન ટોકન સ્લોટ આગામી તા.18 સુધી સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. જ્યારે RTE ફોર્મ ભરવાની અંતિમ તારીખ તા.17 એપ્રિલ છે. આ કારણે વાલીઓ સમયસર ભાડા કરાર નોંધણી કરી શકતા નથી અને બાળકોના પ્રવેશ માટેનું ફોર્મ પણ ભરવામાં અસમર્થ રહ્યા છે. ગરવી-2 પોર્ટલ પર મહેસાણા કચેરીના તા.8 થી 18 દરમિયાન ટોકન મેળવવાના પ્રયાસો છતાં, સિસ્ટમમાં સીધું તા.20થી જ એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ દર્શાવે છે. એટલે કે, ફોર્મ ભરવાની મુદત પૂરી થયા પછી જ ટોકન મળી શકે તેવી સ્થિતિ છે. સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો મુજબ, દરરોજ અંદાજે 100 થી 114 ટોકન ફાળવાય છે. છેલ્લી તારીખ 17મી, 18 સુધી ટોકન મળતા નથીમહેસાણા શહેરના શક્તિધારા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ નાયીએ જણાવ્યું કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 છે, પણ ભાડા કરાર માટે 18મી સુધી ટોકન મળતા નથી. હવે ફોર્મ કેવી રીતે ભરવું તે સમજાતું નથી. ઘણા વાલીઓ અટવાયા છે. આ રીતે ઉકેલ થઇ શકે 1. RTE ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવે. 2. સબ રજીસ્ટ્રાર કચેરીમાં ટોકન સ્લોટ વધારવામાં આવે. 3.નોટરી કરારને પણ માન્યતા આપવામાં આવે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

પાલિકા તંત્ર હરકતમાં:માંડવીના ટોપણસરમાં 90 લાખનું ફાઉન્ટેન 4 મહિના બાદ ફરી જીવંત!

માંડવી નગરપાલિકા દ્વારા અંદાજે 90 લાખના ખર્ચે બનાવાયેલ મ્યુઝિકલ લાઇટિંગ ફાઉન્ટેન, જેનું 12 ડિસેમ્બરે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં પડ્યું હતું. જાન્યુઆરી માસ દરમિયાન આશરે 7 હજારના ઈલેક્ટ્રિક ઉપકરણોની ચોરી થતાં ફાઉન્ટેન બંધ થઈ ગયું હતું અને લાંબા સમય સુધી કોઈ સુધારા કામ ન થતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો. આ બાબતે “90 લાખનું ફાઉન્ટેન ચાર માસથી બંધ” જેવી હેડલાઈન સાથે સમાચાર પ્રકાશિત થતા જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. ભાસ્કર ઈફેક્ટ જોવા મળ્યો હોય તેમ, તરત જ ટેકનિશિયનને કામે લગાડવામાં આવ્યા અને માત્ર એક જ દિવસમાં ફાઉન્ટેનનું મરામત કામ પૂર્ણ કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

રજૂઆત:માંડવીમાં ભારે વાહનોના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું : ઝડપી બાયપાસ શરૂ કરવા માગ

માંડવી શહેરમાં ભારે ટ્રકો અને ડમ્પરોના બેફામ વાહનવ્યવહારને કારણે લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી સતત વધી રહી છે. લાંબા સમયથી બાયપાસ રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે ભારે વાહનો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે તેની સાથે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. તાજેતરમાં 25 વર્ષીય યુવતીનું અકસ્માતે મૃત્યુ થતા ભારે વાહનોની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ દિશામાં તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માગ મર્ચન્ટ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. 6 એપ્રિલે સાંજે સ્વામિનારાયણ મંદિર નજીક સ્કૂટર ચલાવતી એક યુવતી ડમ્પર નીચે આવી જતા ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ માંડવી મર્ચન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર સમય મર્યાદા લાદવી, પીક ટ્રાફિક સમયમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, બાયપાસ રોડનું કામ ઝડપી પૂર્ણ કરવું, જોખમી વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત મંદિર, બજાર અને શાળા વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ લિનેશ કે. શાહે જણાવ્યું હતું કે આ મુદ્દો હજારો નાગરિકોના જીવન અને સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવી દુર્ઘટનાઓ ફરી બનવાની શક્યતા નકારી શકાય નહીં. એસોસિએશનના પ્રતિનિધિમંડળ દ્વારા મામલતદાર પી. એ. જેઠવાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ લલિત આર. મહેતા, મંત્રી ગૌરવ બી. શાહ અને સહમંત્રી મુકેશ એસ. ભાનુશાલી હાજર રહ્યા હતા. અકસ્માતની ઘટનામાં વાહન નંબર છૂપાવવાનો પ્રયાસસ્વામિનારાયણ મંદિર નજીક અકસ્માત સર્જનારા વાહનની આગળ અને પાછળ બન્ને નંબર પ્લેટ પર પીછો મારી દેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે, જેના કારણે સાચો નંબર છુપાવવાનો પ્રયાસ થયાની શંકા ઉભી થઈ છે. હવે ચેસીસ નંબરના આધારે વાહનની સાચી ઓળખ બહાર લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડ્રાઈવરની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે, જ્યારે વાહનના માલિકની શોધખોળ હાલ ચાલુ છે. મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. બારોટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ધરપકડ:લૈયારી પાસે બોલેરોમાં 8 પાડા ભરી જતો અંજારનો ઇસમ ઝબ્બે

નખત્રાણા તાલુકાના લૈયારી ગામની નજીકથી બોલેરોમાં આઠ પાડાને ક્રુરતા પૂર્વક ભરી જતો અંજારનો ઇસમ પોલીસને હાથ લાગ્યો છે.પોલીસને જોઇને રણ માર્ગે બોલેરો લઈને ભાગેલા આરોપીને પોલીસે પીછો કરી દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા પોલીસ મથકની ટીમ બીબર નજીક હાજીપીર પદયાત્રીઓ માટે પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,તલ ગામથી લૈયારી તરફ એક સફેદ કલરની બોલેરો નંબર જીજે 13 એડબ્લ્યુ 5439 વાળી આવી રહી છે જેમાં પશુ ખીચોખીચ ભરેલા છે. બાતમીને આધારે પોલીસે વોચમાં રહેતા આરોપી બોલેરો લઈને આવ્યો હતો.જેને ઉભો રાખવાનો પ્રયાસ કરતા આરોપી બોલેરો લઈને રણ વિસ્તારમાં ભાગ્યો હતો.જેથી પોલીસે તેનો પીછો કરી બોલેરોને રોકાવી હતી.ત્યારે અંજારનો આરોપી મામદહુશેન ગુલામશા શેખ બોલેરો મુકીને ભાગ્યો હતો પણ પોલીસને હાથ લાગી ગયો હતો.જે બાદ પોલીસે તપાસ કરતા બોલેરોમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર આઠ પાડા ભરેલા હતા.જે બાબતે આરોપી પાસે કોઈ પાસ પરમીટ પણ ન હતી.તેમજ આરોપી વગર લાયસન્સે બોલેરો ગાડી પુરઝડપે ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આરોપીની અટકાયત કરી બોલેરોમાં ભરેલા પાડા પાંજરાપોળ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે જ કોંગ્રેસે 500 ફોર્મ ઉપાડ્યા, ભાજપના ફોર્મ બાકી

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ સહિત ગાંધીધામ મહાનગરપાલિકા માટે ફોર્મ ઉપાડવાની પ્રક્રિયાના પ્રથમ બે દિવસમાં જ ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ બે દિવસમાં કુલ 448 બેઠકો માટે અત્યાર સુધીમાં 937 ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે, જોકે આશ્ચર્યજનક રીતે હજુ સુધી એક પણ ઉમેદવારે સત્તાવાર રીતે ફોર્મ પરત ભર્યું નથી. કોંગ્રેસે 448 બેઠકો માટે 500 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે. જો કે હજુ સુધી બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણીવાર પાર્ટી ટિકિટ ન મળતા ઉમેદવારો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરે છે. કચ્છના ઇતિહાસમાં અગાઉ પણ અનેક બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ પ્રભુત્વ જમાવીને જીત મેળવી હોય તેવા દાખલા મોજૂદ છે, જે આ વખતે પણ પુનરાવર્તિત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ ઉત્સાહ ગાંધીધામ મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યો છે, જ્યાં 262 ફોર્મ વિતરણ થયા છે. 5 નગરપાલિકાઓમાં કુલ 321 ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે, જેમાં મુંદરા-બારોઈ પાલિકા 96 ફોર્મ સાથે મોખરે છે, જ્યારે અંજારમાં 85 માંડવીમાં 81 અને ભુજમાં 50 અને નખત્રાણામાં 09 ફોર્મ ઉપડ્યા છે. જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે 77 દાવેદારોએ ફોર્મ લીધા છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો કુલ 277 ઉમેદવારો મેદાનમાં ઉતરવા માટે ઉમેદવારી ફોર્મ મેળવી લીધા છે, જેમાં અંજારમાં સૌથી વધુ 61 અને ભચાઉમાં 61 ફોર્મનું વિતરણ થયું છે. પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે અન્ય પાર્ટીઓ અને અપક્ષોને ઉમેરતા આ આંકડો ઘણો મોટો થઈ શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, કાલે કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરશે. જયારે ભાજપ આજે મોડી રાત્રે અથવા કાલે ઉમેદવારોની જાહેરાત કરી શકશે. કારણ કે 11 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. સંભવિત 10 તારીખના મોટાભાગના ઉમેદવારો પોતાની નોંધાવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

તસ્કરી:ટુંડાવાંઢની વધુ એક કંપનીમાંથી 18 લાખનો મુદ્દામાલ ચોરાયો

થોડા દિવસ પહેલા મુન્દ્રાના ટુંડાવાંઢમાં આવેલ અદાણી કંપનીમાંથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.ત્યારે હવે વધુ એક કંપનીમાં તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા 18 લાખની કિંમતનો મુદ્દામાલ ઉઠાવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સુધીરસિંહ પ્રવીણસિંહ ગોહિલે મુન્દ્રા પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 1 માર્ચથી 1 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.જેમાં ટુંડાવાંઢ સીમમાં આવેલ એક્વાટેક સિસ્ટમ્સ એશિયા પ્રાઈવેટ લીમીટેડ કંપનીના સ્ટોર પાસેની ખુલ્લી જગ્યામાં આરોપીએ હાથ માર્યો હતો.અને સ્થળ પરથી રૂપિયા 17,99,326 ની કિંમતના 50 એનબી સાઈઝના 9 બટરફ્લાય વાલ્વ,રેફ્રીજરેશનની ફીટીંગ સાથેની કોપર પાઈપ,કોપર આર્મર વાયર,એલ્યુમીનીયમ વાયર તેમજ ડોઝીંગ પંપ મોટર નંગ 8 સહીતનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે મુન્દ્રા પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાનકર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ખેડૂતોમાં ભારે આક્રોશ:હિંમતનગર યાર્ડમાં તમાકુની હરાજી બંધ કરી દેતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો

હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં મંગળવારે તમાકુની ખરીદી અચાનક બંધ કરી દેવાતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અગાઉ કોઈ પણ જાણકારી આપ્યા વગર હરાજી બંધ રખાતાં દૂર-દૂરથી માલ લઈને આવેલા ખેડૂતો અટવાયા હતા અને યાર્ડના વહીવટ સામે સવાલો ઉઠાવ્યા હતા. ​યાર્ડમાં માલ લઈને આવેલા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે ​અમે રાત-દિવસ મહેનત કરીને તમાકુનો પાક તૈયાર કર્યો છે. કાલે હરાજી ચાલુ હતી અને અમને કોઈ પણ પ્રકારની અગાઉથી જાણ કરાઇ ન હતી કે આજે ખરીદી બંધ રહેશે. અમે ભાડાના સાધનો કરીને અહીં સુધી માલ લાવ્યા છીએ. હરાજી ન થાય તો અમારે આ માલ ક્યાં લઈ જવો ? વરસાદી વાતાવરણમાં માલ બગડવાની પણ ભીતિ છે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્રએ ખેડૂતોના હિતમાં વિચારવું જોઈએ. ​બીજી તરફ, માર્કેટ યાર્ડના સંચાલકોએ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. આ આગાહીને પગલે વેપારીઓએ સુરક્ષાના કારણોસર તમાકુની ખરીદીથી અળગા રહેવાનું નક્કી કર્યું હતું. તમાકુ એવો પાક છે જે થોડા પણ ભેજ કે વરસાદમાં બગડી શકે છે, જેના કારણે વેપારીઓએ જોખમ લેવાનું ટાળ્યું હતું. ​યાર્ડના અધિકારી હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે ગઈકાલે મોટી માત્રામાં તમાકુની આવક થઈ હતી જેનો હજુ પૂરેપૂરો નિકાલ થયો નથી. વરસાદી માહોલ વચ્ચે ખુલ્લામાં પડેલો માલ બગડે નહીં તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. ખેડૂતોની માંગ છે કે જો વરસાદની આગાહી હોય તો તેમને અગાઉથી જાણ કરવી જોઈએ જેથી તેઓ ખર્ચ કરીને યાર્ડ સુધી ન આવે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

મતદાર યાદી પ્રસિદ્ધ:હિંમતનગરના વોર્ડ-3માં સૌથી વધુ 8476 મતદાર

હિંમતનગર પાલિકા વિસ્તારમાં આજુબાજુના 8 ગામના વિકસિત સર્વે નંબરોનો સમાવેશ કરાયા બાદ બે વોર્ડના વધારા સાથે નવું સીમાંકન જાહેર થયું હતું. જેમાં દરેક વોર્ડની વસ્તીમાં 8 થી 10 હજારનો માપદંડ રખાયો હતો. નવા સીમાંકન બાદ કુલ 11 વોર્ડ પૈકી વોર્ડ નં-11 માં વસ્તીની સાપેક્ષમાં 97.95 ટકા મતદાર છે. મતલબ આ વોર્ડમાં 18 વર્ષથી નીચેની સંખ્યા માત્ર 2.05 ટકા છે. જ્યારે વોર્ડ-2 માં સૌથી ઓછી વસ્તીની સાપેક્ષમાં સૌથી ઓછા 54.42 ટકા મતદાર છે. ​હિંમતનગર પાલિકામાં 2021 ની ચૂંટણીમાં 62513 મતદાર હતા. ગત સપ્ટેમ્બર માસમાં નવું સીમાંકન જાહેર થયા બાદ 11 વોર્ડની હદ સીમા વગેરે ઉરાઈ હતી. ત્યારબાદ એસઆઈઆર પ્રક્રિયા અને નવા સીમાંકન સામે વાંધા સૂચનોની આખરી સુનાવણી વગેરે પ્રક્રિયા લગભગ સમાંતર પૂર્ણ થતાં કુલ 72741 મતદારની તમામ વોર્ડની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ હતી. વોર્ડ સીમાંકનમાં દરેક વોર્ડમાં 8 થી 10 હજારની વસ્તીનું ધોરણ જાળવી રાખવામાં આવ્યું હતું. ​આખરી મતદાર યાદી જોતાં દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા બાબતે બહુ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સૌથી ઓછા મતદાર ધરાવતા વોર્ડ નં-2 માં વસ્તીની સાપેક્ષમાં મતદારોની ટકાવારી 54.42 છે. મતલબ આ વોર્ડમાં 55.58 ટકા બાળક, તરુણ, કિશોર છે. આનાથી ઉલટું નવા ઉમેરાયેલા વોર્ડ નં-11 માં 8315 ની વસ્તીની સામે 8145 મતદાર છે મતલબ વસ્તીની સાપેક્ષમાં 97.95 ટકા મતદાર છે. વોર્ડ નં-10 માં 8521ની કુલ વસ્તીની સાપેક્ષમાં 7333 એટલે કે 86.05 ટકા મતદાર છે. બાકીના વોર્ડમાં સરેરાશ 30 થી 45 ટકા બાળક, તરુણ, કિશોરની વસ્તી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

છેતરપિંડી:ચાણસ્માના યુવકને એક લાખ આપી ગાડી લઈ જઈ શખ્સે 5.80 લાખમાં વેચી નાખી

ચાણસ્માના યુવક પાસેથી 7.5 લાખમાં ગાડી ખરીદવાનું કહી એક લાખ આપી બે દિવસમાં લોન ભરાવી દઈશું તેમ કહી લઈ ગયા બાદ આરોપીઓએ કાર ત્રીજા વ્યક્તિને 5.80 લાખમાં વેચી નાખતાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ચાણસ્મા ઉગમણા દરવાજા બહાર રહેતા કુલદીપકુમાર બકુલેશભાઈ ડોડીયા (ઉ.વ.31) દસ્તાવેજ લખવાનું કામ કરે છે. તેઓએ વર્ષ 2023માં મહિન્દ્રા બોલેરો ગાડી ( GJ-24-AQ-6719) 12.65 લાખમાં ખરીદી હતી.જેમાં રૂ 2.65 લાખ ડાઉન પેમેન્ટ ભર્યું હતું અને બાકીના 10 લાખની ચાણસ્મા કો.ઓ.બેંકમાંથી લોન લીધી હતી.વર્ષ 2026 સુધી ગાડી નો ઉપયોગ કર્યા બાદ ગાડીનું વેચાણ કરવાનું હોઈ મિત્ર મારફતે ઝાલા ચિરાગસિંહ દ્વારા ગોસ્વામી અનિલગીરી સુરેશગીરી અને ગોસ્વામી ભૌતિકગીરી રમેશગીરી સાથે સંપર્ક થયો હતો.બંનેએ ગાડી રૂ 7.05 લાખમાં ખરીદવાની સંમતિ આપી હતી. ગાડી પર લોન ચાલુ હોવાથી આરોપીઓને હપ્તા ભરવા કહેવામાં આવ્યું હતું.જોકે, આરોપીઓએ બે દિવસ માટે ગાડી આપો,પછી સંપૂર્ણ ચુકવણી કરીશું કહી વિશ્વાસમાં લઈ 23 જાન્યુઆરી 2026ના રોજ કાર આર.સી.બુક સાથે લઈ ગયા હતા. શરૂઆતમાં રૂ1 લાખ આપ્યા બાદ આરોપીઓ બહાના કરવા લાગ્યા હતા.બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ ગાડી સાણંદના શાંતિપુરા વિસ્તારમાં આવેલ તન્વી મોટર્સ ખાતે રાહુલદાન ગઢવીને રૂ5.80 લાખમાં વેચી હતી. રાહુલદાન ગઢવી પણ છેતરાયા હોવાનું જણાવતા તેઓએ રૂ 4 લાખ ગુમાવ્યાનું જણાવ્યું હતું.કારના મૂળ માલિક કુલદીપ કુમારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. હાલ અનિલગીરી સુરેશગીરી ગોસ્વામી અને ભૌતિકગીરી રમેશગીરી ગોસ્વામી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

વિરોધ:રોડ મામલે ડુંગરાસણના ઓગડપુરામાં ચૂંટણી બહિષ્કાર

કાંકરેજ તાલુકાના ઓગડપુરા-આકોલી વચ્ચેના 2 કિમી રસ્તાની દરખાસ્ત 7 મહિનાથી પેન્ડિંગ રહેતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. બિસમાર માર્ગને કારણે સ્કૂલ, આંગણવાડી અને 100થી વધુ ઘરોને મુશ્કેલી થતા 300 મતદારોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. ડુંગરાસણ નજીકના ઓગડપુરા-આકોલી વચ્ચેના અંદાજે 2 કિમી કાચા માર્ગને પાકા ડામર રોડમાં પરિવર્તિત કરવાની દરખાસ્ત તા. 25 ઓગસ્ટ 2025થી પેન્ડિંગ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ રસ્તા પર પ્રાથમિક શાળા, આંગણવાડી, વિજળી કચેરી અને 100થી વધુ ઘરો આવેલાં હોવા છતાં માર્ગ બિસમાર હાલતમાં છે, ખાસ કરીને ચોમાસામાં બાળકોને ખેતરોમાંથી પસાર થઈ શાળાએ જવું પડે છે. સોમવારે રાત્રે ગામલોકોએ બેઠક બોલાવી નિર્ણય લીધો કે, રોડ નહીં બને ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરાશે. સરપંચ વિક્રમજીએ જણાવ્યું હતું કે, મામલતદાર કચેરી શિહોરી ખાતે તેમજ વિવિધ નેતાઓ સમક્ષ વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. જેથી હવે 100થી વધુ ઘરોને મુશ્કેલી થતા 300 મતદારોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:કચરા નિકાલમાં કૌભાંડ, પ્રોસેસ કર્યો 76200 મેટ્રિક ટન, બતાવ્યો‎2.17 લાખ મે.ટન, એજન્સીને પાલિકાએ 6.32 કરોડ વધુ ચુકવ્યા‎

પાટણ નગરપાલિકાની માખણીયા ડમ્પિંગ સાઈટ પર શહેરમાંથી એકત્ર કરી ખડકાતાલેગસી વેસ્ટ (જૂના કચરા)ના નિકાલમાં એજન્સી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચીફ ઓફિસરની તપાસમાં આક્ષેપ કરાયો છે.જેમાં મશીનની ક્ષમતા કરતા ત્રણ ઘણું વધુ કામ બતાવી 6.32 કરોડના ખોટા બિલો ઉધારીને લીધેલ રકમ સાથે પાલિકાએ અમદાવાદની નાગેશ કોર્પોરેશન નામની એજન્સીને રૂ. 6.83 કરોડથી વધુની પેનલ્ટી અને વસૂલાતની નોટિસ ફટકારી છે. પાલિકાના કચરા નિકાલની કામગીરી કરનાર એજન્સીએ તેના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે તેણે 25 ઓક્ટોબર 2024થી 1 માર્ચ 2025 સુધીના માત્ર 127 દિવસમાં 2.17 લાખ ટન કચરાનો નિકાલ કર્યો છે. જોકે, ચીફ ઓફિસની તપાસમાં સામે આવ્યું કે ડમ્પિંગ સાઈટ પર લગાવેલા મશીનોની મહત્તમ ક્ષમતા જોતા આ સમયગાળામાં વધુમાં વધુ 76,200 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ થઈ શકે. એટલે કે, એજન્સીએ મશીનની ટેકનિકલ કેપેસિટી કરતા 300% વધુ કામગીરી કાગળ પર બતાવીને નગર પાલિકા પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે. પાલિકાએ એજન્સીને 15 દિવસની મહેતલ આપી છે. જો આ રકમ જમા નહીં થાય, તો એજન્સી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો (IPC) હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે પરંતુ સવાલ એ છે કે શું માત્ર એજન્સી સામે જ કાર્યવાહી થશે કે ખોટા સર્ટિફિકેટ આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

વિરોધ:પાટણના ભીલવાસમાં પાણી ગંદકી મુદ્દે ચૂંટણી બહિષ્કાર

ઉનાળાના પ્રારંભે જ પાટણના વોર્ડ નં. 10 માં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો છે. મીરા દરવાજા ભીલવાસ વિસ્તારમાં પૂરતા દબાણથી પાણી ન મળતા અને ચારેતરફ ગંદકીના સામ્રાજ્યથી ત્રસ્ત ગૃહિણીઓએ તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ​રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો પાણી અને સફાઈની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ચૂંટણી:ભાજપે ટિકિટ આપવાનો ઈન્કાર કરતાં પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ ફરી કોંગ્રેસમાં જોડાયા

પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ શહેરનું રાજકારણ ગરમાયું છે.ભાજપની ત્રણ ટર્મની ગાઈડલાઈનને લઈ ટિકિટ આપવાની સ્પષ્ટ ના પાડી દેવાતા પટ્ટણી સમાજના અગ્રણી અને પૂર્વ પાલિકા ઉપપ્રમુખ દિનેશ પટ્ટણીએ કેસરીયો ખેસ ત્યાગી ફરી પંજો પકડ્યો છે.ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયેલા દિનેશ પટ્ટણીએ ભાજપ પર છેલ્લી ઘડીએ પત્તું કાપવાનો આક્ષેપ કર્યો છે. ભાજપે કહ્યું ગાઈડલાઈન મુજબ ટિકિટ શક્ય નથીશહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દિનેશભાઈ અગાઉ ત્રણ ટર્મ નગરપાલિકાની ચૂંટણી લડેલા છે. પક્ષની શિસ્ત અને નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ તેમને ફરી ટિકિટ આપી શકાય તેમ નથી. જોકે, ભાજપે દરવાજા ખુલ્લા રાખતા જણાવ્યું હતું કે જો તેમના સમાજમાંથી કોઈ અન્ય સક્રિય કાર્યકરનું નામ સજેસ્ટ કરવામાં આવે તો પક્ષ ચોક્કસ વિચારણા કરી શકે છે. હર્ષ પટેલે કટાક્ષ કરતા એમ પણ ઉમેર્યું હતું કે, તેઓ મૂળ કોંગ્રેસી વિચારધારા ધરાવતા હોવાથી ફરી ત્યાં પરત ફર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

‘ક્લીન ઈમેજ’ માટે દોડધામ શરૂ:વેરા ભરપાઈથી લઈ નોન-ક્રિમિનલ સર્ટિફિકેટ સુધીની રાજકીય રેસ ગરમ

માંડવીમાં ચૂંટણી પહેલા જ રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. હજી સુધી કોઈ પણ પક્ષે સત્તાવાર ઉમેદવાર યાદી જાહેર કરી નથી, છતાં “ટિકિટ ફાઈનલ” ગણાતા દાવેદારો સક્રિય થઈ ગયા છે. વિશ્વસનીય સૂત્રો મુજબ, પાલિકા ચૂંટણીમાં મજબૂત દાવેદારી ધરાવતા કેટલાક ઉમેદવારોએ તાત્કાલિક રૂપિયા 2.50 લાખ જેટલો બાકી વેરો ભરપાઈ કરી પોતાની છબી ‘ક્લીન’ બનાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ ઓછામાં ઓછા ચાર ઉમેદવારોએ પાલિકા પાસેથી નો ડ્યુ સર્ટિફિકેટ મેળવી લીધા છે. આ સમગ્ર ઘટનાક્રમથી રાજકીય ગલીઓમાં એક મોટો સવાલ ઉઠ્યો છે શું ટિકિટ ફાળવણીની અંદરની માહિતી પહેલેથી જ લીક થઈ રહી છે ? કારણ કે, છેલ્લા બે દિવસમાં આશરે 8 જેટલા સંભવિત ઉમેદવારો માંડવી પોલીસ સ્ટેશનથી નો-ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે. બીજી તરફ, મામલતદાર કચેરીએ પણ “જાતિ દાખલા” મેળવવા માટે દાવેદારોની લાઈનો લાગી રહી છે, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઉમેદવારી માટેની તૈયારી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 7 એપ્રિલના રોજ તાલુકા પંચાયત માટે રાજકીય હલચલ વધુ તેજ બની છે. આમ આદમી પાર્ટી દ્વારા 1 ફોર્મ, કોંગ્રેસ પાર્ટી દ્વારા 30 ફોર્મ અને બહુજન મુક્તિ પાર્ટી દ્વારા 2 ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા કોંગ્રેસમાં જોરદાર આંતરિક સ્પર્ધાનો સંકેત આપે છે. નગરપાલિકામાં અપક્ષ ઉમેદવાર દ્વારા પણ 1ફોર્મ લેવામાં આવ્યું હોવાના અહેવાલો મળતા, ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો સર્જાવાની શક્યતાઓ વધુ મજબૂત બની રહી છે. જિલ્લા પંચાયતની સીટ માટે 4 ફોર્મ ઉપડતા દાવેદારો વચ્ચે અંદરખાને ખીંચતાણ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે,ઉમેદવાર યાદી જાહેર થાય તે પહેલાં જ માંડવીમાં રાજકીય ગણિત, અંદરની લોબિંગ અને દોડધામે ચૂંટણીના રંગને ઘેરો બનાવી દીધો છે. હવે નજર એ વાત પર છે કે પક્ષો કોને સત્તાવાર તક આપે છે અને કોના રાજકીય સપનાઓ અધૂરા રહી જાય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ:એપ્રિલમાં ઓલ-ટાઈમ હાઈ વરસાદ : કંડલામાં 59 વર્ષ,નલિયામાં 14 વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી

હાલમાં સતત સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છમાં માર્ચ અને હવે એપ્રિલ મહિનામાં પણ ભારે કમોસમી વરસાદ (માવઠું) જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા ભુજ, કંડલા એરપોર્ટ અને નલિયાના સત્તાવાર આંકડાઓનું મેં ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે વર્ષ 2026૬ના માર્ચ અને એપ્રિલ મહિનામાં પડેલા વરસાદે હવામાનના અનેક જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. એપ્રિલ 2026માં કંડલા અને નલિયામાં સર્વાધિક વરસાદનો નવો ઓલ-ટાઈમ રેકોર્ડ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગના આંકડા અનુસાર, 2026 ના એપ્રિલ મહિનામાં કંડલા એરપોર્ટ અને નલિયા ખાતે પડેલા કમોસમી વરસાદે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કંડલા એરપોર્ટના 1961 થી ઉપલબ્ધ ડેટા મુજબ, 04-04-2026 ના રોજ અહીં 13.0 mm વરસાદ નોંધાયો છે, જે એપ્રિલ મહિનાનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. આ અગાઉ 28-04-1967 ના રોજ 5.4 mm વરસાદ નોંધાયો હતો, જે હવે બીજા ક્રમે ધકેલાઈ ગયો છે. એટલે કે 59 વર્ષનો રેકોર્ડ તૂટો છે. બીજી તરફ, નલિયાના 1958 થી ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે 03-04-2026 ના રોજ 5.2 mm વરસાદ ખાબક્યો હતો, જે એપ્રિલ માટે નવો ઓલ-ટાઈમ હાઈ રેકોર્ડ છે. નલિયામાં આ પહેલાં 20-04-2012 ના રોજ 3.0 mm વરસાદનો સર્વોચ્ચ રેકોર્ડ હતો. આમ, કંડલા અને નલિયા બંને મથકોએ એપ્રિલમાં વરસાદના નવા ઐતિહાસિક આંકડા દર્શાવ્યા છે. સતત સક્રિય રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વર્ષ 2026 નો માર્ચ અને એપ્રિલ મહિનો કચ્છ માટે અસાધારણ અને રેકોર્ડ-બ્રેક કમોસમી વરસાદનું વર્ષ સાબિત થયો છે. ખાસ કરીને એપ્રિલ 2026માં કંડલા અને નલિયામાં પડેલા વરસાદે તો તેમના દાયકાઓ જૂના રેકોર્ડ તોડીને પ્રથમ ક્રમનો નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ક્લાઈમેટ ચેન્જ અને વારંવાર આવતા સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છની આબોહવામાં આવી રહેલા આ અનપેક્ષિત બદલાવો ભવિષ્યની ખેતી અને ઋતુચક્ર માટે એક ગંભીર એલાર્મ સમાન છે. માર્ચ 2026 : ભુજમાં 20 વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યોએપ્રિલની જેમ માર્ચ 2026 માં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે નોંધપાત્ર અસર દેખાડી છે. 20-03-2026 ના રોજ, નલિયામાં 7.8 mm વરસાદ નોંધાયો, જે તેના ઇતિહાસમાં માર્ચ મહિનાનો બીજા ક્રમનો (Rank 2) સૌથી વધુ વરસાદ છે. કચ્છના મુખ્ય મથક ભુજના 1881 થી ઉપલબ્ધ સૌથી જૂના ડેટા પર નજર કરીએ તો, 20-03-2026 ના રોજ ભુજમાં 15.2 mm વરસાદ નોંધાયો હતો, જે ભુજના 145 વર્ષના ઇતિહાસમાં માર્ચ મહિનાનો ત્રીજા ક્રમનો (Rank 3) સૌથી મોટો વરસાદ રહ્યો છે. આ અગાઉ ગત તા. 9-3-2006ના ભુજમાં 11.4 mm નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં મિશ્ર ઋતુ બાદ હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો વધશે કચ્છ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. 19 માર્ચથી અત્યાર સુધીમાં ત્રણથી ચાર વખત વાતાવરણમાં ફેરફાર નોંધાયો છે. માવઠાના કારણે લોકોને થોડા દિવસો માટે ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ હવે આ રાહત ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ શનિવારથી કચ્છના હવામાનમાં ફરી બદલાવ આવશે. ખાસ કરીને 11થી 13 એપ્રિલ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાશે. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને લોકોને અસહ્ય બફારાનો સામનો કરવો પડશે. કંડલા, મુન્દ્રા, માંડવી અને નલિયા જેવા વિસ્તારોમાં ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. મંગળવારે કચ્છના મુખ્ય શહેરોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. ભુજમાં 34 ડિગ્રી, નલિયામાં 33.2 ડિગ્રી, કંડલા પોર્ટ ખાતે 34 ડિગ્રી અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે કચ્છમાં ફરી એકવાર ગરમીનો પ્રભાવ વધતો જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

જાહેરનામું:તાપીમાં ચૂંટણી સભા-સરઘસ માટે નિયંત્રણ, પરવાનગી વિના પ્રતિબંધ

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લામાં સભા અને સરઘસ અંગે કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. વ્યારા નગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ વિસ્તારોમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર. બોરડે જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો-સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનાઓ જાહેર કરી છે. જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિ અથવા રાજકીય પક્ષે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના સભા બોલાવી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં. ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવા, ચકાસણી અથવા પ્રતિક ફાળવણી માટે ચૂંટણી કચેરીએ જતાં વખતે મોટા સરઘસ સાથે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઉપરાંત, એક પક્ષે જ્યાં સભા યોજી હોય તે સ્થળે બીજો પક્ષ સરઘસ લઈ જઈ શકશે નહીં અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ પણ નિષેધ કરવામાં આવી છે. ચૂંટણી સભા અને રેલી દરમિયાન ધ્વજ, બેનર અને કટઆઉટ જેવી સામગ્રીનો ઉપયોગ સ્થાનિક કાયદા અને પ્રતિબંધક હુકમોને આધિન રહેશે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે, પરંતુ સાડી કે શર્ટ જેવા મુખ્ય વસ્ત્રોના વિતરણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જોકે લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા, ધાર્મિક કાર્યક્રમો તેમજ એસ.ટી. બસ અથવા રેલવે મુસાફરી માટે જતા લોકો પર આ હુકમ લાગુ પડશે નહીં. સક્ષમ અધિકારીની મંજૂરીથી યોજાતા કાર્યક્રમોમાં ભાગ લેનારાઓને પણ આ પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સૌરાષ્ટ્ર યુનિ.માં ‘અંધેર નગરી ને ગંડુ રાજા’:55 વર્ષના ‘કાકા’ પરીક્ષા આપી ગયા અને હવે લાયક ઉમેદવારોના ડોક્યુમેન્ટ પોર્ટલમાંથી ગાયબ!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડો અને વહીવટી લાલિયાવાડીનો વધુ એક વરવો નમૂનો સામે આવ્યો છે. આસિસ્ટન્ટ ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની જુદી જુદી ભરતીમાં અગાઉ 35 વર્ષની વયમર્યાદા હોવા છતાં 55 વર્ષના ‘કાકા’ને પરીક્ષા આપવા દઈને યુનિવર્સિટીએ પોતાની મજાક ઉડાવી હતી. હવે, જ્યારે મહેનત કરીને પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવ્યા છે, ત્યારે યુનિવર્સિટીની ભંગાર સિસ્ટમે તેમને ‘નાપાસ’ જાહેર કરવાની પેરવી કરી છે. પોર્ટલ પર અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ ગાયબ થઈ જતાં ઉમેદવારો મંગળવારે મોડીરાત સુધી યુનિવર્સિટી કેમ્પસમાં જ ન્યાય માટે ટળવળતા રહ્યા હતા, ધરણા કર્યા હતા. ઉમેદવારોએ પુરાવા સાથે રજૂઆત કરી કે, તેમણે ફોર્મ ભરતી વખતે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા, તો જ હોલ ટિકિટ જનરેટ થઈ હોય. જોકે રિક્રૂટમેન્ટ સેલના વડા અને હાજર અધિકારીઓએ પોતાની ટેક્નિકલ ખામી સ્વીકારવાને બદલે ઉમેદવારો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. અધિકારીઓએ ઉદ્ધત વર્તન કરતા કહ્યું કે, ‘તમે જ અપલોડ નહીં કર્યા હોય, તમારો જ વાંક છે,’ તેમ કહી ઉમેદવારોને સાંભળ્યા વગર જ કાઢી મૂક્યા હતા. અધિકારીઓના તુમાખીભર્યા વર્તનથી કંટાળેલા ઉમેદવારો ન્યાયની આશાએ કુલપતિ પાસે દોડી ગયા હતા, પરંતુ ત્યાં પણ તેમને નિરાશા જ સાંપડી. કુલપતિએ ફરી રિક્રૂટમેન્ટ સેલમાં જવાનું કહીને પલ્લું ઝાડી લીધું હતું. આમ, એક ઓફિસથી બીજી ઓફિસ સુધી ઉમેદવારોને ફૂટબોલની જેમ ફેરવવામાં આવ્યા હતા. છેવટે હારેલા ઉમેદવારો મંગળવારે મોડી રાત્રે 8 વાગ્યા સુધી રજિસ્ટ્રાર ઓફિસની બહાર જ બેસી રહ્યા હતા, રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી અને અંતે તેમણે પોતાની સિસ્ટમમાં કોઈ ખામી છે કે કેમ તે તપાસવાની ખાતરી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે શિક્ષણધામને બદલે વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. એકબાજુ ગેરકાયદેસર રીતે મોટી ઉંમરના લોકોને પરીક્ષામાં બેસવા દેવાય છે અને બીજીબાજુ લાયક ઉમેદવારોને ટેક્નિકલ ખામીના બહાને હેરાન કરવામાં આવે છે. જો આ મામલે તાત્કાલિક ટેક્નિકલ તપાસ કરી ઉમેદવારોના ડોક્યુમેન્ટ માન્ય રાખવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં વિદ્યાર્થી સંગઠનો પણ આ મામલે ઉગ્ર રજૂઆત કરવાના હોવાનું જાણવામળ્યું છે. શંકા ઉપજાવતા સવાલ | ડોક્યુમેન્ટ કેમ ગાયબ થઇ ગયા? 15થી વધુ ભોગ બન્યા 1 ટેક્નિકલ જાદુગરી કે લાપરવાહી? | ઉમેદવારે ડોક્યુમેન્ટ અપલોડ જ નહોતા કર્યા, તો ફોર્મ સબમિટ કેવી રીતે થવા દીધું? શું સિસ્ટમ એટલી ભંગાર છે કે અધૂરા ફોર્મ પણ સ્વીકારી લે છે? 2 એડમિટ કાર્ડનો ખેલ | શૈક્ષણિક વિગતો વિના ક્યા આધારે યુનિવર્સિટીએ આ ઉમેદવારોના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) જનરેટ કર્યા? 3 ડેટા ગાયબ થવાનું રહસ્ય | ફોર્મ ભરતી વખતે જે વિગતો દેખાતી હતી, તે વેરિફિકેશનના દિવસે જ કેમ ગાયબ થઈ ગઈ? શું આ લાયક ઉમેદવારોને સિસ્ટમમાંથી બહાર કરવાનો કારસો છે? 4 55 વર્ષના ‘કાકા’ પર મહેરબાની કેમ? | 35 વર્ષની મર્યાદા હોવા છતાં 55 વર્ષના ઉમેદવારો પરીક્ષા આપી ગયા, ત્યારે રિક્રૂટમેન્ટ સેલ ઊંઘતું હતું? 5 સિક્યોરિટી ઓડિટ ક્યાં? | લાખો રૂપિયાના ખર્ચે જે પોર્ટલ બનાવ્યું છે, તેનું સિક્યોરિટી કે ડેટા ઓડિટ છેલ્લે ક્યારે થયું હતું? વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ સાથેના ચેડાં માટે જવાબદાર કોણ? 6 આ છે વહીવટી મોડેલ? | દિવસભર રજૂઆત કરવા છતાં રાત સુધી ઉમેદવારોને બેસાડી રાખવા એ કયા પ્રકારનું વહીવટી મોડેલ છે?

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

પીઆઇની બદલીમાં ભલામણને સ્થાન નહીં:બદલી થઈને આવેલા PIને કામગીરી, ઇનામ અને વર્તણુંકને આધારે અને વિવાદિતને સાઈડ પોસ્ટિંગ અપાશે

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે વગદાર અને વહીવટદારોની ગોઠવણ ચાલી રહી છે, પરંતુ હવે તેના પર બ્રેક લાગી છે. બદલી સાથે અમદાવાદ આવેલા પીઆઇની તેમની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જોઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને પગલે બદલીની કામગીરી સંપૂર્ણ નિષ્પક્ષ રીતે થશે. કમિશનર ઓફિસના સ્પષ્ટ વલણને લઈને પોતાના અધિકારીઓને પોસ્ટિંગ કરાવવા માટે વહીવટદારો અને વગદારોએ કમિશનર કચેરીએ ફોન કરવાનું ટાળ્યું છે. અગાઉ વિવાદમાં આવેલા પીઆઇને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવશે. PIની પોસ્ટિંગમાં વચેટિયાઓની મહત્વની ભૂમિકાકેટલાક અધિકારીઓને બાદ કરતાં અમદાવાદ શહેરમાં જ્યારે પણ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થાય કે પછી તેમને પોસ્ટિંગ આપવામાં આવે, ત્યારે વચેટિયાની ભૂમિકા મુખ્ય રહેતી હતી. વચેટિયા પોતાના પીઆઇને ચોક્કસ પોલીસ મથકમાં પોસ્ટિંગ અપાવે પછી તેની મરજી મુજબ જ PIને કામગીરી કરવી પડે. બીજી તરફ જે તે વિસ્તારના વગદાર માણસો પોતાની પસંદગીના PIને પોતાના વિસ્તારમાં પોસ્ટિંગ અપાવે એટલે તેનું વર્ચસ્વ વધતું જાય. ટ્રેક રેકોર્ડને આધારે પોસ્ટિંગથી કેટલાક નારાજ તો કેટલાક ખુશઆ તમામ પરિબળોને દૂર રાખીને પીઆઇની કામગીરી તેમનો ટ્રેક રેકોર્ડ જોઈને તેમની યોગ્યતા મુજબ પોસ્ટિંગ આપવાની પ્રથા હાલ ચાલી રહી છે. જેને કારણે કેટલાક અધિકારીઓ નારાજ છે તો કેટલાક મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખુશ છે. જે તે પોલીસ મથકમાં ચોક્કસ કર્મચારીઓ અનિવાર્ય બની ગયા હતા અને તેમનું વર્ચસ્વ વધતાં 3 વર્ષ કે તેથી વધારે સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. પીઆઇનના પોસ્ટિંગમાં ભલામણને સ્થાન નહીંહવે તાજેતરમાં જ રાજ્યના સાડા પાંચસો કરતાં વધુ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 65 ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થયો છે. બદલી સાથે અમદાવાદ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને ગણતરીના કલાકોમાં પોસ્ટિંગ આપી દેવાશે. કમિશનર કચેરી દ્વારા કોઈ પણ PIના પોસ્ટિંગ માટે ભલામણ કરનારને “સોરી” કહી દેવામાં આવી રહ્યું છે. અધિકારીને તેની યોગ્યતા મુજબ જ પોસ્ટિંગ મળે તેવી કવાયત ચાલી રહી છે. વિવાદિત પીઆઇને સાઇડ પોસ્ટિંગઅગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા કામગીરી નબળી હોય તેવા પીઆઇને કંટ્રોલ રૂમ કે ટ્રાફિકમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં હાલમાં ફરજ બજાવતા કેટલાક પીઆઇને આંતરિક બદલી આવે તેવી પણ શક્યતા છે. મહત્વનું છે કે બદલી બાદ અમદાવાદ શહેરના નારોલ, નરોડા, વટવા, માધવપુરા, બોડકદેવ, નવરંગપુરા, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના પોલીસ સ્ટેશન ઊંચાઈ પીઆઇથી ચાલી રહ્યા છે, જ્યાં ટૂંક સમયમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 am

AMTS ડ્રાઈવર મોહસીન પઠાણે મોહિત બની મહિલાને પ્રેમજાળમાં ફસાવી:ત્રણ બાળકો છતાં અપરિણીત હોવાનું કહી દુષ્કર્મ આચર્યું, ઓળખ છૂપાવવા નકલી આધાર બનાવ્યું; આરોપીની ધરપકડ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં AMTS બસ ડ્રાઈવર મોહસીન પઠાણે પોતાની ઓળખ છુપાવી 'મોહિત પટેલ'ના નામે એક વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ ખોટું આધાર કાર્ડ બનાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેનો ભાંડો ફૂટતા ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો?શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં નોકરી કરતી મહિલા બસમાં અવરજવર દરમિયાન ડ્રાઈવર મોહસીન પઠાણના સંપર્કમાં આવી હતી. મૂળ ગોધરાનો રહેવાસી અને કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા મોહસીને પોતાનું નામ 'મોહિત પટેલ' હોવાનું અને પોતે અપરિણીત હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે મહિલાને અલગ-અલગ હોટલોમાં લઈ જઈ લગ્નની ખાતરી આપી અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. હોટલમાં એન્ટ્રી માટે તે 'મોહિત પટેલ'ના નામનું નકલી આધાર કાર્ડ પણ રજૂ કરતો હતો. મોબાઈલ તપાસતા આરોપીનો ભાંડો ફૂટ્યોમહિલાને શંકા જતાં તેણે આરોપીનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાંથી તેને આરોપીની બહેનનો નંબર મળી આવ્યો હતો. તેની બહેન સાથે વાતચીત કરતા સત્ય સામે આવ્યું કે તેનું સાચું નામ મોહસીન પઠાણ છે. વધુમાં તે પરિણીત છે અને તેને ત્રણ બાળકો પણ છે. જ્યારે મહિલાએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે મોહસીને તેને ધમકી આપી ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીપીડિત મહિલાએ સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ નકલી આધાર કાર્ડ કોની મદદથી બનાવ્યું હતું અને અગાઉ આ પ્રકારે અન્ય કોઈ મહિલાઓને નિશાન બનાવી છે કે કેમ. આગામી રિમાન્ડ દરમિયાન આ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 am

પનીર અંગેનું બોર્ડ ન લગાવતા ભૈરવનાથ પંજાબી તડકા સીલ:અમદાવાદમાં 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો AMC ફૂડ વિભાગે જપ્ત કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને પનીરનો ઉપયોગ કરનાર તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને મિલ્ક પનીર/એનાલોગ પનીર (નોન ડેરી પ્રોડક્ટ)ના ઉપયોગ અંગે સ્પષ્ટપણે દર્શાવવા સૂચના આપી છે. AMC ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વસ્ત્રાલ વિસ્તારમાં ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટ દ્વારા પનીર અંગેનું મેનુ કાર્ડ પ્રદર્શિત કર્યું નહોતું તેમજ ફૂડ સેફ્ટી લાઇસન્સ નહોતું જેથી તેને સીલ કરવામાં આવ્યું હતું, જ્યારે નવરંગપુરા પોલિટેકનિક પાસે પંજાબદી મહેક નામની રેસ્ટોરન્ટમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જીવતો અને રસોડામાં ગંદકી જોવા મળી હતી તેમજ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા તેને સીલ કરવામાં આવી હતી. 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્તમ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, પનીરના નામે એનાલોગ પનીરનું વેચાણ કરનારા તેમજ નાગરિકોને ગેરમાર્ગે દોરનારા લોકો તેમજ બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારા વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું. ગોતા વિસ્તારમાં વિશ્વાસ સિટી 6 નામના કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો અને નરોડા વિસ્તારમાં સુતરના કારખાનાની સામે મધુસૂદન બિઝનેસ હબમાં આવેલી રાધે ડેરીમાંથી 104 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 199 કિલો અને 318 લિટર અખાદ્ય જથ્થો નાશઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 3 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પનીરના 69, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટ્સના 25, બેકરી પ્રોડક્ટસના 6, શેરડીના રસના ત્રણ અને અન્ય 29 એમ અલગ અલગ કુલ 188 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા છે. 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી છે જેમાંથી 235ને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 199 કિલો અને 318 લિટર અખાતે જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 am

રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ 30 કોર્પોરેટરની ટિકિટ કાપશે!:વિવાદો, ત્રણ ટર્મ સહિતના મુદ્દે દિગ્ગજોના પત્તા કપાશે, જાણો કયા વોર્ડમાં કોની બાદબાકી થઈ શકે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે જેમાં આપ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા બાદ આગામી બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, ભાજપે નવા સંગઠનની જાહેરાત સમયે બધાને આશ્ચર્યચકિત કર્યા હતા તે રીતે ચૂંટણીના ઉમેદવારોની જાહેરાતમાં અનેક દિગ્ગજો અને વિવાદિત ચહેરાઓની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપશે તેવી રાજકોટ ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, આ વખતે ભાજપના ઉમેદવારોની જાહેરાત પૂર્વે ઘણા વોર્ડમાં જૂથવાદ અને નારાજગી જોવા મળી રહી છે, જેની મતદાન અને ચૂંટણી પરિણામ પર કેવી અને કેટલી અસર થશે તે જોવાનું રહ્યું. જૂના અને વિવાદિત કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે!રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત કરે તે પહેલા આંતરિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નવા સિમાંકન અને પાર્ટીના ટિકિટના માપદંડને કારણે આ વખતે અનેક જૂના અને વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પત્તા કપાવાની શક્યતા સેવાઈ રહી છે. ગત મનપાની ચૂંટણીમાં ભાજપના 68 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. જે પૈકી લગભગ 25થી 30 જેટલા કોર્પોરેટરોને કાપી ભાજપ નવા ચહેરા મેદાનમાં ઉતારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ભાનુ બાબરિયા અને હિરેન ખીમાણિયાની ટિકિટ કપાશે!વોર્ડ-1માંથી ભાનુ બાબરિયાની ટિકિટ કપાઈ શકે છે. કારણ કે, તેઓ હાલ રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત વોર્ડ-1માંથી યુવા કોર્પોરેટર હિરેન ખીમાણિયાની ટિકિટ કપાશે. કારણ કે, તેમની સામે આક્ષેપો થયા હતા કે, TRP અગ્નિકાંડના આરોપી ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયા સાથે તેમની સાંઠ ગાંઠ છે અને પોતે આ વોર્ડના સ્થાનિક રહેવાસી પણ નથી. તેઓ આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિથી પણ વાકેફ ન હોવાથી વોર્ડ 1ના ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓ પણ ક્યાંક નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત સામાજિક લેવલે પણ તેમનો વિરોધ ખુબ ચર્ચાસ્પદ રહ્યો છે. દર્શિતા શાહ અને મનિષ રાડિયાની ટિકિટક કપાશે!વોર્ડ-2માં ડો.દર્શિતાબેન શાહની ટિકિટ કપાશે. કારણ કે, તેઓ હાલ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે. આ ઉપરાંત મનિષ રાડિયા કે જેઓ ગત ટર્મમાં મનપામાં દંડક રહી ચૂક્યા છે અને તેમની ઉંમર હાલ 61 વર્ષની છે માટે તેમની ટિકિટ કપાવાની શક્યતા પૂરેપૂરી સેવાઈ રહી છે. આ ઉપરાંત મીનાબા જાડેજાની ટિકિટ પણ કપાઈ શકે છે અને જ્ઞાતિ આધારિત સમીકરણો બેલેન્સ કરવામાં આવશે, જ્યારે વોર્ડ-3માંથી બાબુ ઉધરેજાની ટિકિટ કપાઈ શકે છે અને કુસુમબેન ટેકવાણીના બદલે સિંધી સમાજમાંથી અન્ય મહિલાને ટિકિટ ફાળવે તેવી ચર્ચા છે. પતિ સામે કૌભાંડના આક્ષેપોને કારણે વજીબેન ગોલતર ટિકિટ કપાઈ શકે!વોર્ડ-4માંથી નયનાબેન પેઢડિયાની ટિકિટ કપાઈ શકે છે. કારણ કે, તેઓ પોતાના છેલ્લા અઢી વર્ષમાં મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન સતત વિવાદોના ઘેરામાં સપડાયેલા રહ્યા છે. જ્યારે વોર્ડ-5માંથી વજીબેન ગોલતર કે જેમના પતિ દ્વારા ગેરકાયદેસર આવાસ મેળવી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થતા પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજ વોર્ડના યુવા કોર્પોરેટર ડો. હાર્દિક ગોહિલને સીમાંકનના કારણે કાપવામાં આવે તેવી શક્યતા છે. નેહલ શુક્લને રિપીટ ન કરવા પ્રદેશ કક્ષાએ ભલામણવોર્ડ-6ના દેવુબેન જાદવે પક્ષ પલટો કરી કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી છે. તેમની સાથે વોર્ડ-6માંથી ભાવેશ દેથરિયાની પણ બાદબાકી કરી પાર્ટી દ્વારા નવા ઉમેદવારોને તક આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. વોર્ડ-7માંથી દેવાંગ માંકડે દાવેદારી જ નોંધાવી ન હોવાથી તેમને રિપીટ કરવામાં આવશે નહીં, જ્યારે નેહલ શુક્લ ગત અઢી વર્ષ દરમિયાન સતત કોઈને કોઈ વાતને લઈ સ્ટેન્ડિંગ બેઠકમાં વિરોધ નોંધાવી પાર્ટીથી વિરૂદ્ધ રહેતા હોવાના આક્ષેપ થયા તેમને રિપીટ ન કરવા પ્રદેશ કક્ષાએ ભલામણ કરવામાં આવી છે. પુષ્કર પટેલે ચૂંટણી ન લડવા ઇચ્છા દર્શાવતા નવા ચહેરાને તકવોર્ડ-8માંથી ડો. દર્શના પંડ્યા કે જેમને દાવેદારી નોંધાવી ન હોવાથી તેમને રિપીટ કરવામાં નહીં આવે. આજ વોર્ડના બદલેલા સીમાંકનના આધારે અશ્ચિન પાંભર અને બિપીનભાઈ બેરાને બદલે અન્યને સ્થાન આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. વોર્ડ-9માં સીમાંકન બદલતા પૂર્વ કોર્પોરેટર જીતુભાઈ કોટડિયાના બદલે તેમના પત્નીએ દાવેદારી નોંધાવી છે. જ્યારે બે-બે વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પુષ્કર પટેલે આ વખતે ચૂંટણી ન લડવા ઇચ્છા દર્શાવતા તેઓની પણ ટિકિટ કપાશે અને નવા ચહેરાને તક આપવામાં આવશે. વોર્ડ-12માં પતિના બળવાથી પત્નીની ટિકિટ કપાશેવોર્ડ-10માં નરેન્દ્રસિંહ વાઘેલાને કાપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આજ રીતે વોર્ડ-11માં રણજીત સાગઠિયા અને વિનોદ સોરઠિયાની ટિકિટ કપાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે. જ્યારે વોર્ડ-12માં મગન સોરઠિયા અને અસ્મિતાબેન દેલવાડિયાની ટિકિટ કપાશે. કારણ કે, અસ્મિતાબેનના પતિએ બળવો કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે માટે અસ્મિતાબેનને પક્ષ ટિકિટ ફાળવશે નહીં. ત્રણ ટર્મથી ટિકિટ ફાળવણીને કારણે જયાબેનને બદલે અન્યને ટિકિટવોર્ડ-13માં જયાબેન ડાંગર પણ કપાશે. કારણ કે, તેમના પરિવારમાંથી 3 ટર્મ કરતા વધુ સમયથી ટિકિટ ફાળવણી થઈ રહી છે માટે આ વખતે તેમના બદલે અન્યને ટિકિટ આપવામાં આવશે. જ્યારે નિતીન રામાણીનું નામ પણ TRP ગેમઝોન અગ્નિકાંડ સમયે ચર્ચામાં આવ્યું હતું અને તેમની પણ ક્યાંકને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી હોવાના કારણે વિવાદોમાં આવી ચૂકેલાને ટિકિટ ફાળવશે નહીં. વિનુ ઘવાની 3 ટર્મના નિર્ણયના કારણે બાદબાકી થઈ શકેવોર્ડ-16માં નરેન્દ્ર ડવની ટિકિટ કપાશે. કારણ કે, તેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂક્યા છે. જ્યારે વોર્ડ-17માં અનિતાબેન ગોસ્વામીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ દાવેદારી કરી નથી અને વિનુ ઘવાની ત્રણ ટર્મના નિર્ણયના કારણે બાદબાકી થઈ શકે છે. આજ રીતે વોર્ડ-18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા વિવાદમાં આવતા તેમનું પત્તુ કપાઈ શકે તેમ છે. ભાજપ આ કોર્પોરેટરોને રિપીટ કરી શકે છેઉલ્લેખનીય છે કે, આગામી એક કે બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદારોની યાદી જાહેર કરે તેમાં રિપીટ કોર્પોરેટરના નામોમાં પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અલ્પેશ મોરઝરિયા અથવા તેમના પત્ની પૂર્વ કોર્પોરેટર અંજના મોરઝરિયા, કંચનબેન સિદ્ધપુરા, જ્યોત્સનાબેન ટીલાડા, સુરેન્દ્રસિંહ વાળા, લીલુબેન જાદવ, ડો. રાજેશ્રીબેન ડોડિયા, દક્ષાબેન વસાણી, પરેશ પીપળીયા અને દિલીપ લુણાગરિયાનો સમાવેશ થઈ શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 am

પાટણના 71 શ્રમજીવી પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ:સોસાયટીના સભ્યોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી, વૈકલ્પિક જગ્યાની માગ સાથે સામૂહિક આપઘાતની મહિલાની ચીમકી

પાટણ શહેરના ડીસા રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં વસવાટ કરતા 71 ગરીબ પરિવારો પર બેઘર થવાનું સંકટ આવ્યું છે. સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા આ પરિવારોને 9 એપ્રિલ સુધીમાં તમામ બાંધકામો દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. રહીશોના જણાવ્યા અનુસાર, ગત 2 એપ્રિલ, 2026ના રોજ નોટિસ આપીને માત્ર એક અઠવાડિયામાં (9 એપ્રિલ, 2026 સુધીમાં) મકાનો ખાલી કરી દેવાનો આદેશ કરાયો છે. રોજ કમાઈને ખાનારા આ શ્રમજીવી પરિવારો માટે આટલા ટૂંકા ગાળામાં અન્યત્ર ક્યાં જવું તે મોટો પ્રશ્ન બન્યો છે. આજે સોસાયટીના સભ્યો પાટણ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોએ લેખિતમાં જણાવ્યું હતું કે, તેઓ કાયદાના વિરોધમાં નથી, પરંતુ તેમની પાસે રહેવા માટે અન્ય કોઈ જમીન કે મકાન નથી. તેમણે માંગ કરી હતી કે જો સરકાર દ્વારા રહેણાંક માટે પ્લોટ ફાળવવામાં આવે, તો તેઓ સ્વેચ્છાએ આ જગ્યા ખાલી કરવા તૈયાર છે. નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર આવી જવાની ભીતિ વ્યક્ત કરતા રહીશોએ માનવતાના ધોરણે વધુ સમય આપવા અને પ્લોટ ફાળવવા આજીજી કરી હતી. રજૂઆત દરમિયાન સોસાયટીની એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારી પાસે બીજું કોઈ ઘર નથી. જો અમને રહેવા માટે અન્ય જગ્યા ફાળવવામાં નહીં આવે અને અમારા મકાનો તોડી પાડવામાં આવશે, તો અમે શ્રમજીવી સોસાયટીમાં જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દઈશું. આ નિવેદનને પગલે વાતાવરણ ગંભીર બન્યું હતું.શ્રમજીવી સોસાયટીના રહીશોએ નગરપાલિકા અને સરકારને અપીલ કરી છે કે ગરીબ માણસોના હિતમાં નિર્ણય લઈ, તેમને ઘરવિહોણા થતા બચાવવામાં આવે અને યોગ્ય પ્લોટની ફાળવણી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:31 pm

Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય!

Global Population Crisis : માનવજાતના અસ્તિત્વ પર મોટું પ્રશ્નચિહ્ન લગાવે એવા ચિંતાજનક સમાચાર આવ્યા છે. એક નવો વૈજ્ઞાનિક અભ્યાસ કહે છે કે, માનવવસ્તીને સહન કરવાની પૃથ્વીની ક્ષમતા ઓછી થઈ રહી છે. જો આપણે આપણી જીવનશૈલી નહીં બદલીએ તો 2060 સુધીમાં વિશ્વની વસ્તી 12 અબજ સુધી પહોંચી જશે. એટલે કે, પૃથ્વી પર લોકોની સંખ્યા એટલી વધી જશે કે કુદરત પાસે આપણને જરૂરી પાણી, હવા અને ખોરાક આપવાની તાકાત રહેશે નહીં. વિજ્ઞાનીઓ કહે છે કે અત્યારે પણ આપણે મર્યાદા કરતાં વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. ચાલો જાણીએ કે મુદ્દો કેટલો ગંભીર અને ચિંતાજનક છે.

ગુજરાત સમાચાર 7 Apr 2026 11:30 pm

કોંગ્રેસે વાપીમાં 'જનતાનો મેનિફેસ્ટો' જાહેર કર્યો:લોકોના સૂચનોથી તૈયાર, પ્રશ્નોના નિકાલનું વચન; AAPના કાર્યકર કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે વાપી ખાતે 'જનતાનો મેનિફેસ્ટો' જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટો રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે રજૂ કરાયો છે. કોંગ્રેસે જણાવ્યું કે, આ મેનિફેસ્ટો 'કોંગ્રેસ આપને દ્વાર' અભિયાન હેઠળ વાપીના દરેક ઘરની મુલાકાત લઈને તૈયાર કરાયો છે. આ માટે વોર્ડ દીઠ 'જનમંચ' પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યાં લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટી (AAP) વાપીના સક્રિય કાર્યકર કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખે કેતન પટેલને આવકાર્યા હતા. તેમણે વાપી મનપાના વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી નોંધાવી હતી. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખે તેમને ઉમેદવારની દોડમાં જાહેર કર્યા હતા. મેનિફેસ્ટોમાં વાપીના વિકાસ માટે 10 મુખ્ય વચનો આપવામાં આવ્યા છે. તેમાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનો સમાવેશ થાય છે. ટ્રાફિક મુક્ત શહેર બનાવવા માટે ટેકનોલોજી આધારિત માસ્ટર પ્લાન અને શહેરીજનોને સવાર-સાંજ બે વખત પૂરતા પ્રેશર સાથે શુદ્ધ પીવાનું પાણી આપવાનું વચન પણ અપાયું છે. શિક્ષણ ક્ષેત્રે, દરેક વોર્ડમાં કોર્પોરેશનની શાળાઓનું આધુનિકરણ કરીને તેમને 'મોડલ સ્કૂલ' તરીકે વિકસાવવાની વાત છે. ફેરિયાઓને લાઈસન્સ આપી તેમના અધિકારોનું રક્ષણ કરવાનું અને 'પહેલા રિહેબીલિટેશન પછી જ ડિમોલિશન'ની નીતિ અપનાવી કોઈને પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર ઘર વિહોણા ન કરવાની ખાતરી અપાઈ છે. આ ઉપરાંત, પ્રોપર્ટી ટેક્સનું માળખું સરળ બનાવી કર ઉપરનું વ્યાજ ઘટાડવું, ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી અને AQI ઘટાડવા કડક પગલાં લેવા જેવા મુદ્દાઓ પણ મેનિફેસ્ટોમાં સામેલ છે. પર્યાવરણ સુરક્ષા હેઠળ નદી-તળાવોમાં ઠલવાતા ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણીને અટકાવવાનું વચન છે. શ્રમિક કલ્યાણ માટે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી, ફાયર સેફ્ટી અને કામદારોના બાળકોના શિક્ષણ માટે વિશેષ આયોજનની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ મેનિફેસ્ટો વાપીના નવસર્જન માટેનો રોડમેપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:28 pm

પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ:જિલ્લામાં બીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી, 248 ફોર્મ ઉપડ્યા

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના બીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર જમા થયું નથી. નોંધનીય છે કે, અત્યાર સુધી જિલ્લામાં એક પણ ઉમેદવારી પત્ર વિધિવત રીતે ભરાયું નથી. ગોધરા નગરપાલિકામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો ધસારો સૌથી વધુ જોવા મળ્યો છે. આજે વધુ 92 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. છેલ્લા બે દિવસમાં ફોર્મ વિતરણ કેન્દ્ર પરથી કુલ 248 ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે. નગરપાલિકાની સાથે સાથે તાલુકા પંચાયતોમાં પણ ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા તેજ બની છે. ગોધરા તાલુકા પંચાયતમાં બે દિવસ દરમિયાન કુલ 75 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે. આદિવાસી બહુલ મોરવા હડફ તાલુકામાં પણ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં બે દિવસમાં 28 ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે. રાજકીય પક્ષો દ્વારા મેન્ડેટ અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ હોવાથી ફોર્મ ભરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું મનાય છે. આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો ભરાવાની પ્રક્રિયામાં વેગ આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:16 pm

બોટાદ SOGએ હડદડમાંથી 1 કિલો ગાંજો ઝડપ્યો:રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો, વેચનાર-ખરીદનારની ધરપકડ

બોટાદ SOG પોલીસે હડદડ ગામમાંથી 1.002 કિલોગ્રામ સુકો ભેજયુક્ત ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં ગાંજો વેચનાર અને ખરીદનાર બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 60,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદ SOG પોલીસને મળેલી બાતમીના આધારે, હડદડ ગામે રહેતા પ્રદિપસિંહ ભીખુભા ગોહિલના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી 1.002 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો વેચનાર પ્રદિપસિંહ ભીખુભા ગોહિલ અને ગાંજો ખરીદવા આવેલા બોટાદના રામકુભાઈ કાળુભાઈ ગીડાની અટકાયત કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:10 pm

મોરબીમાં ત્રણ વાહનમાંથી 9924 દારૂની બોટલ જપ્ત:57.43 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો, પાંચની શોધખોળ

મોરબી પોલીસે ગુલાબનગર વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જુદા જુદા ત્રણ વાહનમાંથી કુલ 9924 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ 57.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય પાંચ શખ્સોની શોધખોળ ચાલી રહી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.સી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે ગુલાબનગર વિસ્તારમાં ખાનગી વાહનોમાં દારૂનો જથ્થો ભરીને તેની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે, પોલીસે મોરબીના બાયપાસ રોડ પર આવેલ ગુલાબનગર શેરી નંબર 1 માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે સ્થળ પરથી ત્રણ શંકાસ્પદ વાહનો શોધી કાઢ્યા હતા. જેમાં કેરી ગાડી નંબર GJ 3 BZ 1336, કેરી ગાડી નંબર GJ 3 BZ 5747 અને બોલેરો ગાડી નંબર GJ 36 V 0323 નો સમાવેશ થાય છે. આ વાહનોને લીલા કલરના કંતાનથી ઢાંકીને રાખવામાં આવ્યા હતા. વાહનોની તલાશી લેતા તેમાંથી કુલ 9924 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 50,38,800 રૂપિયા આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે 7 લાખ રૂપિયાની કિંમતના ત્રણ વાહનો અને 5000 રૂપિયાનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, કુલ 57,43,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી મુસ્તકિમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના (ઉંમર 19, રહે. ગુલાબનગર શેરી નંબર 1, મોરબી) ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં, મુસ્તકિમે નવઘણભાઈ મોહનભાઈ બાંભવા (રહે. તુલસી પાર્ક, મોરબી), દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા (રહે. તુલસી પાર્ક, મોરબી), ઓમાન અશરફભાઈ ધારાણી (રહે. ખોજા સોસાયટી, લાયન્સ નગર, મોરબી), યુવરાજસિંહ અનુપસિંહ ડોડીયા (રહે. વજેપર, મોરબી) અને ભીમશી કોળી (રહે. કાગદડી, તા. રાજકોટ) ના નામ આપ્યા હતા. પોલીસે કુલ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર થયેલા પાંચ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:08 pm

હિંમતનગર: હાથમતી નદી કિનારે 5 ઓરડીઓ ધરાશાયી:કમોસમી વરસાદથી માટી ધોવાતા મકાનો પડ્યા

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલી પાંચ ઓરડીઓ ધરાશાયી થઈ હતી. મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મકાન માલિકોએ આ અંગે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ ઘટના મંગળવારે સાંજે પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રાજેન્દ્રબાગ નજીક બની હતી. હાથમતી નદી કિનારે આવેલી નંદુભાઈ ડાભીની ત્રણ અને તેમની બાજુમાં આવેલી નરોત્તમભાઈ જયશ્રીરામ પાલની બે, એમ કુલ પાંચ બંધ ઓરડીઓ ધરાશાયી થઈ હતી. નદીમાં પાણીના પ્રવાહને કારણે માટીનું ધોવાણ થતાં આ ઓરડીઓ પડી ગઈ હતી. સાબરકાંઠા જિલ્લાના આઠમાંથી છ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં દિવસ દરમિયાન આશરે 1 ઇંચ (23 મિમી) અને તલોદમાં પોણો 1 ઇંચ (18 મિમી) વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે: ખેડબ્રહ્મા: 00 મિમી, વિજયનગર: 08 મિમી, વડાલી: 10 મિમી, ઇડર: 03 મિમી, હિંમતનગર: 23 મિમી, પ્રાંતિજ: 08 મિમી, તલોદ: 18 મિમી, પોશીના: 00 મિમી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:04 pm

નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર:રાજપીપળા શહેરી વિસ્તારમાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ

નર્મદા જિલ્લામાં એક નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાતાની સાથે જ રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો સક્રિય બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર પણ ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે. આથી, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની સૂચનાથી સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા ફ્લેગમાર્ચ યોજી જરૂરી વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને ગામોમાં ફ્લેગમાર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજપીપળા નગરપાલિકાના સાત વોર્ડમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને રાજપીપળા ટાઉન વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની આગેવાની હેઠળ ટાઉન પીઆઈ અને તેમની ટીમે ફ્લેગમાર્ચ કરી હતી. આ ફ્લેગમાર્ચ કાછિયાવાડ, કસ્બાવાડ, દરબાર રોડ, સોનીવાડ, માલીવાડ, દોલત બજાર અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:02 pm

મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન સામે વિરોધ:મોરબીમાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યાં, કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી

રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવવામાં આવ્યા હતા. આ નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા રાજ્યભરમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા ભાજપ પરિવારે મંગળવારે સાંજે 7 વાગ્યે ભક્તિનગર સર્કલ પાસે ધરણા પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનમાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ ગુજરાતીઓની માફી માંગે તેવી માંગ કરી હતી. પ્રદર્શન દરમિયાન 'ગુજરાત વિરોધી કોંગ્રેસ હાય હાય' અને 'મલ્લિકાર્જુન ખડગે હાય હાય' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ, રવિભાઈ સનાવડા, કે.કે. પરમાર, નયનભાઈ કવર, નીતેશભાઇ બાવરવા, નિલેશભાઈ પટેલ, સુરેશભાઈ શિરોહીયા, નિર્મળાબેન હડિયલ અને મમતાબેન સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની હંમેશા ગુજરાત વિરોધી માનસિકતા રહી છે. તેમણે ગુજરાતીઓનું અપમાન કરનાર કોંગ્રેસ પાસેથી તાત્કાલિક માફીની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:01 pm

ભાજપ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ મોરબીમાં વિરોધનો સૂર:વોર્ડ 8માં આયાતી નહીં, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ; અન્યથા અપક્ષમાંથી ઉમેદવારી કરાવી તેમને જીતાડવાની ચીમકી

મોરબી મહાપાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપના દ્વારા આયાતી ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી શક્યતાને પગલે વિરોધનો સૂર ઉઠ્યો છે. ચિત્રકૂટ સોસાયટીમાં સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીનો મુખ્ય હેતુ ભાજપ દ્વારા આ વોર્ડમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચાઓનો વિરોધ કરવાનો હતો. સ્થાનિકોની માંગ છે કે, ભાજપના જે સ્થાનિક આગેવાનોએ ટિકિટની માંગણી કરી છે, તેમાંથી કોઈ એકને ટિકિટ આપવામાં આવે. જો આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો સ્થાનિક લોકો ભાજપના સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેમને ચૂંટાડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપે હજુ સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી નથી, ત્યારે જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાંથી વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. અગાઉ, મોરબીના વોર્ડ નંબર 3માંથી ઓબીસી સમાજના લોકોએ જિલ્લા, શહેર અને પ્રદેશ ભાજપને આવેદનપત્ર પાઠવીને આયાતી નહીં, પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી હતી. આ ઘટનાક્રમ બાદ આજે મોડી સાંજે મોરબીના સનાળા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં વોર્ડ નંબર 8ના મહિલાઓ સહિતના તમામ લોકો એકત્રિત થયા હતા અને ભજીયા પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ભજીયા પાર્ટીનું આયોજન કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર કે આગેવાન દ્વારા નહીં, પરંતુ સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ રીતે કરવામાં આવ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષોથી આ વિસ્તારમાં ભાજપ માટે કામ કરતા કાર્યકર્તાઓની ટિકિટની માંગણીને અવગણીને પક્ષ દ્વારા આયાતી ઉમેદવારને મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ સંકલ્પ કર્યો હતો કે, જો ભાજપ દ્વારા વોર્ડ નંબર 8માં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો તેઓ સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેમને ચૂંટણીમાં વિજય અપાવશે. મોરબીના જુદા જુદા વોર્ડમાંથી ઉઠી રહેલા આવા વિરોધના સૂરને કારણે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપ માટે કપરા ચઢાણ સર્જાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:47 pm

ચિત્રકાર કનુ પટેલને કૈલાસ લલિતકલા એવોર્ડ મળ્યો:મોરારી બાપુએ હનુમાન જન્મોત્સવ સમારોહમાં સન્માનિત કર્યા

હનુમાન જન્મોત્સવના પાવન અવસરે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ચિત્રકાર કનુ પટેલને પ્રતિષ્ઠિત 'કૈલાસ લલિતકલા એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કલા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં અનેક પ્રતિભાશાળી કલાકારોને વિવિધ એવોર્ડથી નવાજવામાં આવ્યા. ચિત્રકલા ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ જાણીતા ચિત્રકાર કનુ પટેલને પૂજ્ય મોરારી બાપુના હસ્તે અર્પણ કરાયો. આ સન્માન તેમના ચિત્રકલા પ્રત્યેના દીર્ઘકાલીન સમર્પણ અને સર્જનાત્મક યાત્રાને નવી ઊર્જા આપશે. સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે કનુ પટેલની આ સિદ્ધિને બિરદાવી હતી. આ સમારોહમાં દેશભરના અનેક જાણીતા કલાકારોને 'નટરાજ' અને 'હનુમંત' એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા. જેમાં સુપ્રસિદ્ધ અભિનેત્રી શબાના આઝમી, કલાકાર કવલજીત પેન્ટલ, વરિષ્ઠ કલાકાર અરવિંદ વૈદ્ય, રમેશ નાયક, ગાયિકા કૌશિકી ચક્રવર્તી અને દેવાશિષ મહાપાત્ર સહિત કલા ક્ષેત્રના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત ન રહેતા, તે ભારતીય સંસ્કૃતિ, સંગીત, નાટ્યકલા અને ભક્તિભાવનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે આવા આયોજનોને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા. એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ ચિત્રકાર કનુ પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા મહાનુભાવોની વચ્ચે સ્થાન મેળવવું અને તેમની સાથે આ પવિત્ર ક્ષણોને વહેંચવાનો અવસર મળવો તેમના માટે આશીર્વાદ સમાન છે. તેમણે આ સન્માનને પોતાની કલા યાત્રામાં નવી જવાબદારી અને પ્રેરણારૂપ ગણાવ્યું. કનુ પટેલે આયોજકો, ગુરુજનો, પરિવારજનો અને તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ કલા અને સંસ્કૃતિની સેવા માટે સતત પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને કલાપ્રેમીઓના હૃદયમાં એક અવિસ્મરણીય છાપ છોડી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:30 pm

ઈન્ડિયન રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 1.80 લાખની છેતરપિંડી:વીડિયો કોલ કરી વૃદ્ધને ફસાવ્યા, વાઇરલની ધમકી આપી ડરાવ્યા; યુટ્યુબના જનરેલ મેનેજર બની રૂપિયા પડાવ્યા

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા એક 61 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાયબર ગઠીયાઓની જાળમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. વોટ્સએપ વીડિયો કોલ દ્વારા બ્લેકમેઇલિંગનો ભોગ બનેલા આ વૃદ્ધ પાસેથી ઠગ ટોળકીએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી કુલ ₹1.80 લાખ પડાવી લીધા છે. આ મામલે ભોગ બનનારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શું છે સમગ્ર મામલો?ભારતીય રેલવેમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધને 26 ડિસેમ્બર 2025ના રોજ નમાઝના સમયે એક અજાણી મહિલાનો વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. વૃદ્ધે કોલ રિસીવ કરતા જ સામે મહિલા દેખાતા તેમણે તરત જ કોલ કટ કરી દીધો હતો. બીજા દિવસે એટલે કે 27 ડિસેમ્બરે વીડિયો વાઇરલ કરવાની ધમકી મળવાનું શરૂ થયું હતું. 28 ડિસેમ્બરે એક વ્યક્તિએ 'દિલ્હી પોલીસના સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર યોગી' તરીકે ઓળખ આપી વૃદ્ધને ડરાવ્યા હતા. ઠગ ટોળકીએ વીડિયો ડિલીટ કરવાના બહાને 'યુટ્યુબના જનરલ મેનેજર અજય શર્મા' સાથે વાત કરાવી હતી અને બલરામ નામના વ્યક્તિના બેંક ખાતામાં રકમ જમા કરાવવા દબાણ કર્યું હતું. વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂડરના માર્યા વૃદ્ધે ટુકડે-ટુકડે ₹1.80 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા, તેમ છતાં ગઠીયાઓએ વધુ ₹50 હજારની માંગણી ચાલુ રાખી હતી. અંતે છેતરપિંડીનો અહેસાસ થતા વૃદ્ધે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:26 pm

વાવોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:પ્લાસ્ટિક, ટાયર ને જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી પ્રસરી, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો

ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલા એક વિશાળ ભંગારના ગોડાઉનમાં આજે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ કચરાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્લાસ્ટિક, ટાયરને કારણે આગ ઝડપથી પ્રસરીન્યૂ વાવોલ પાસે સ્થિત આ ગોડાઉનમાં પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી પ્રસાર કર્યો હતો, જેના ધુમાડાના ગોટા દૂર સુધી આકાશમાં દેખાયા હતા. ગાંધીનગર ફાયર સ્ટેશનની ત્રણથી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, ભંગારના જથ્થાના અંદરના ભાગમાં આગ હોવાથી ફાયર કર્મીઓને તેને સંપૂર્ણપણે ઓલવવામાં ભારે જહેમતનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાયોઆ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાનપ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:20 pm

સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની પરબો શરૂ:જૈન સોશિયલ ગ્રુપ અને દીપ્તિબેન ટ્રસ્ટના સહયોગથી ત્રણ સ્થળોએ સેવા શરૂ

સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ અને સામાન્ય જનતાને ઠંડું પાણી પૂરું પાડવા માટે ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અને દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. જળ એ જ જીવન ના સૂત્રને સાર્થક કરતા, ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવાના ઉમદા હેતુથી આ પરબો શરૂ કરાઈ છે. આ પહેલમાં કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ વિના સૌને ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પરબો સુરેન્દ્રનગરના ત્રણ અલગ અલગ સ્થળોએ કાર્યરત કરવામાં આવી છે. જેમાં મહેતા મોબાઈલ (ફોનવાલે), એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે; રતન ટાઈમ, ન્યૂ માર્કેટ સામે, પતરાવાળી ચોક; અને શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડનો સમાવેશ થાય છે. આ સેવાકીય કાર્યના પ્રારંભ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી. ઉનાળાની ઋતુમાં રાહદારીઓ અને જનસમુદાયને સરળતાથી ઠંડું પીવાનું પાણી મળી રહે તેવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:19 pm

ભીમરાડ અને રાંદેરની દુર્ઘટનાઓ બાદ તંત્ર જાગ્યું:જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય ફરજીયાત, સોઈલ એક્સપર્ટની ગાઈડલાઈન મુજબ જ પ્રોટેક્શન વોલ બનાવવી પડશે

સુરત શહેર આજે આધુનિક ગગનચુંબી ઇમારતોનું હબ બની રહ્યું છે. મુંબઈ જેવી મેટ્રો સિટીની જેમ અહીં પણ હાઈરાઈઝ બિલ્ડિંગોનો ક્રેઝ વધ્યો છે, પરંતુ આ ભવ્યતાની નીચે એક ગંભીર જોખમ પણ દટાયેલું છે. તાજેતરમાં શહેરના ભીમરાડ, રાંદેર અને અડાજણ જેવા વિસ્તારોમાં નિર્માણાધીન સાઇટ્સ પર બૅઝમેન્ટના ખોદાણ દરમિયાન જે રીતે પ્રોટેક્શન વોલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, તેણે સુરત મહાનગરપાલિકાને એક્શન મોડમાં લાવી દીધી છે. બિલ્ડરો જમીનની અંદર 3થી 4 માળ ઊંડા બૅઝમેન્ટ બનાવી રહ્યાસુરતમાં જમીનના ભાવ આસમાને હોવાથી બિલ્ડરો હવે વધુમાં વધુ એફ.એસ.આઈ. (FSI) નો ઉપયોગ કરી રહ્યા છે. નિયમ મુજબ પાર્કિંગની સુવિધા આપવા માટે બિલ્ડરો જમીનની અંદર 3થી 4 માળ ઊંડા બૅઝમેન્ટ બનાવી રહ્યા છે. આ ખોદાણ 40થી 60 ફૂટ સુધી ઊંડું હોઈ શકે છે. આટલી ઊંડાઈએ જ્યારે ખોદાણ કરવામાં આવે ત્યારે આસપાસની જમીન અને મિલકતોને પકડી રાખવા માટે ‘ડી-વોલ’ બનાવવામાં આવે છે. જો આ દીવાલ જરા પણ કાચી પડે તો આખી સાઈટ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે છે. 40 ફૂટ પહોળી મજબૂત ગણાતી ડી-વોલ ધસી પડી હતીભીમરાડ વિસ્તારમાં આવેલી વિવાન પ્રોજેક્ટની સાઈટ પર બનેલી ઘટનાએ ટેકનિકલ નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા હતા. અહીં 40 ફૂટ પહોળી મજબૂત ગણાતી ડી-વોલ ધસી પડી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આસપાસની મિલકતો પર મોટું જોખમ ઊભું થયું હતું. દબાણની ગણતરીમાં સહેજ પણ ભૂલ થાય, મજબૂત દીવાલ ટકી શકતી નથીનિષ્ણાતોના મતે, આ વિસ્તારમાં 'વોટર ટેબલ' (ભૂગર્ભ જળ સ્તર) ખૂબ જ ઊંચું છે. જ્યારે બૅઝમેન્ટ માટે ઊંડું ખોદાણ કરવામાં આવે છે, ત્યારે બહારની તરફથી પાણીનું અને ભીની માટીનું પ્રચંડ દબાણ દીવાલ પર આવે છે. જો આ દબાણની ગણતરીમાં સહેજ પણ ભૂલ થાય, તો ગમે તેવી મજબૂત દીવાલ પણ ટકી શકતી નથી. જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય અનિવાર્યસામાન્ય રીતે બાંધકામ ક્ષેત્રે GDCRના નિયમોનું પાલન થતું હોય છે. વર્તમાન GDCRમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે બૅઝમેન્ટની મંજૂરી માટે સોઈલ ટેસ્ટિંગ કે જીઓ ટેકનિકલ રિપોર્ટ આપવો જ જોઈએ. જોકે, સુરત મનપાના સેન્ટ્રલ ટીડીઓ વિભાગે જોયું કે કાયદાકીય જોગવાઈઓની રાહ જોવામાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આથી, મનપાએ એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે બે કે તેથી વધુ બૅઝમેન્ટ હોય ત્યાં જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય અનિવાર્ય.નકશા પાસ કરતા પહેલા જમીનની ભીતરની સ્થિતિનો વૈજ્ઞાનિક રિપોર્ટ તપાસવો. માત્ર સ્ટ્રક્ચર એન્જિનિયર નહીં, પણ સોઈલ એક્સપર્ટની ગાઈડલાઈન મુજબ જ પ્રોટેક્શન વોલ બનાવવી. મનપાએ બિલ્ડરને પ્લાન રિવાઇઝ કરવા જણાવ્યું મનપાએ આ નવા નિયમનો કડક અમલ શરૂ કરી દીધો છે. તેના બે તાજા ઉદાહરણો સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં વિવાન પ્રોજેક્ટ (ભીમરાડ): અહીં અકસ્માત બાદ ટેકનિકલ કમિટીએ તપાસ કરી. જીઓ ટેકનિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે 3 બૅઝમેન્ટ બનાવવાથી જમીન પરનું દબાણ અસહ્ય થઈ જશે. પરિણામે, મનપાએ બિલ્ડરને પ્લાન રિવાઇઝ કરવા જણાવ્યું અને હવે અહીં 3 ને બદલે માત્ર માણીયા હોસ્પિટલ (અડાજણ): અડાજણની આ સાઈટ પર પણ દીવાલ તૂટવાની ઘટના બની હતી. પરંતુ અહીં જ્યારે જીઓ ટેકનિકલ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે જરૂરી સુધારા-વધારા સાથે 3 બૅઝમેન્ટ સુરક્ષિત છે. એક્સપર્ટે અહીં સંખ્યા ઘટાડવાનું સૂચન ન આપતા, 3 બૅઝમેન્ટ યથાવત રાખવા દેવાયા છે. આ બે કિસ્સાઓ સાબિત કરે છે કે હવે મનપા 'વન સાઈઝ ફિટ્સ ઓલ' ના બદલે દરેક સાઈટની ભૌગોલિક સ્થિતિ મુજબ નિર્ણય લઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:17 pm

134 બેન્ક ખાતામાં 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરીને સાયબર ફ્રોડ કર્યું:ભાવનગરમાં ગુજસીકોટ દાખલ કરી 9ની ધરપકડ, બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા; મુખ્ય સુત્રધાર ફરાર

ભાવનગરમાં શખસોએ ટોળકી રચી જુદા જુદા 134 વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી કે કમિશનથી મેળવી તેમાં રૂા. 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરી બેંક ખાતામાં ફ્રોડના નાણા જમા કરાવી ચેક કે એટીએમ મારફતે ઉપાડી સગેવગે કરી નાખ્યા હતાં. જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઉક્ત કેસમાં ગુજસીકોટનો ઉમેરો કરી 10 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે 9 આરોપીને ઝડપી પાડી રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રજુ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે હજુ માસ્ટર માઈન્ડ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. 134 બેન્ક એકાઉન્ટ ને 21 કરોડથી વધુનું ટ્રાન્જેકશનભાવનગર જીલ્લામાં દશરથ રામજીભાઈ ધાંધલ્યાએ અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી (syndicate) બનાવી જુદા-જુદા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા હોવાનું જાણવા છતાં કુલ 134 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ. 21,37,22,197 કે તેથી વધુનું ટ્રાન્જેકશન કર્યા હતાં. બોરતળાવ પોલીસે ગુજસીકોટ દાખલ કર્યોજેમાં NCRP પોર્ટલ પર કુલ કમ્પ્લેઈન 272ની થયેલ જેમાં કુલ રૂ. 8,11,81,246નું ફ્રોડ ટ્રાન્જેક્શન કરી બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી જે નાણા ચેક તથા એટીએમ મારફતે ઉપાડી ફ્રોડ કરીને રકમ સગેવગે કરી નાખી હતી. બોરતળાવ પોલીસ મથકના પીઆઈ ચૌહાણે ફરીયાદ આપતા ગેંગ વિરુધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 317(4), 61(2) તથા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ-2015ની કલમ કલમ.3(1), 3(2), 3(4), 3(5)હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. 9 શખસની ધરપકડ, ગેંગનો માસ્ટર માઈન્ડ ફરારટોળકીના સભ્યો આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઈ ગોહેલ, શાફીન યુનુસભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ સરવૈયા, અમન ઈસુક્ભાઈ ઓફ્થાની, હર્ષદસિંહ અનકુભા સરવૈયા, દીપક વિઠ્ઠલભાઈ ગોહીલની ધરપકડ કરી લઈ રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે ઉક્ત સાયબર ફ્રોડના ગુનાનો માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજુ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે. કરોડો બેંક એકાઉન્ટમાં જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાઆરોપીઓએ ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી ઓર્ગોનાઈઝ્ડ ક્રાઈમ સીંડીકેટ બનાવી સંગઠીત થઈ પોતાની ટોળકીનો ગુનાહિત હેતુ સિદ્ધ જુદા-જુદા વ્યક્તિઓના બેંક ખાતા સાયબર ક્રાઈમની ફ્રોડ એકટીવીટી માટે ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. તે ખાતાઓમાં સાયબર ક્રાઈમના ભોગબનનાર વ્યક્તિઓના નાણા મેળવી તે નાણા બેંક ખાતાની ઓનલાઈન નેટ બેંકીંગ સુવિધા મારફતે ખાતાઓમાં ટ્રાન્સફર કરી જુદી જુદી રીતથી રોકડમા રૂપાંતરીત કરી અથવા તે ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી લીધાં. આ ટોળકી દ્વારા આવા ગંભીર પ્રકારના ગુના આશરે છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગર શહેર તથા રાજકોટ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આચરવામા આવ્યા હતાં. 'ફરિયાદમાં કલમ ઉમેરો કરીને ગુજસીટોક દાખલ કરાયો'ભાવનગર ગ્રામ્ય ASP ઘનશ્યામ ગૌતમએ જણાવ્યું હતું કે, 24 તારીખે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સાઇબરફ્રોડનો એક ગુનો દાખલ થયો હતો, જે આરોપીઓનો અમે ગુનાહિત ઇતિહાસ તપાસ્યો અને તેના આધારે અમને જાણવા મળ્યું કે તે તમામ આરોપીઓ વિરુદ્ધ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયા છે. તે બાબતને ધ્યાનમાં રાખીને આમાં ‘ગુજસીટોક’ (GUJCTOC) ની કલમો ઉમેરવાનો રિપોર્ટ કર્યો, જેને અમને IG અને SP તરફથી હકારાત્મક મંજૂરી મળી. જે આધારે આ ફરિયાદમાં કલમ ઉમેરો કરી ગુજસીટોક દાખલ કરવામાં આવી. 'મ્યુલ એકાઉન્ટ્સને હેન્ડલ કરવા માટે એક મેનેજર પણ રાખ્યો હતો'ASP ગૌતમએ જણાવ્યું કે, જે મુખ્ય આરોપી છે દશરથ જેને કેટલાક વર્ષોથી તેને ભાવનગરમાં સંગઠિત સ્તરે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (Mule Accounts) નું ખેડાણ કર્યું હતું. મ્યુલ એકાઉન્ટ્સના ખેડાણનો અર્થ એ છે કે, તેણે કેટલાક લોકોને ભેગા કર્યા અને તેમને પોતાની નીચે બેસાડ્યા તથા તેમને ચોક્કસ કાર્યો સોંપ્યા. જેમ કે, કેટલાકને કહ્યું કે તમે જઈને મારા માટે અલગ-અલગ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ લઈ આવો. અને તે મ્યુલ એકાઉન્ટ્સને હેન્ડલ કરવા માટે એક મેનેજર પણ રાખ્યો હતો. 'લોકોને વારંવાર લાલચ આપવામાં આવતી હતી'​ASPએ કહ્યું કે, અત્યાર સુધી અમે જે માહિતી એકઠી કરી શક્યા છીએ, તેમાં અમને ચાર સ્તરો જોવા મળ્યા છે અને બે MO (કાર્યપ્રણાલી) જોવા મળી છે. જો હું MOની વાત કરું, તો પહેલી MO એ છે કે કેવી રીતે મ્યુલ એકાઉન્ટ્સની વ્યવસ્થા કરવામાં આવી. લોકોને વારંવાર લાલચ આપવામાં આવતી હતી કે તમે તમારા આધાર કાર્ડ અને ફોન નંબરના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી આપો. તેઓ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા, પછી એક વ્યક્તિ તે એકાઉન્ટ્સ મેળવતી હતી અને તેના ઉપરના વ્યક્તિને આપતી હતી. આ રીતે ચાર સ્તર પર ભાવનગરમાં સંગઠિત સ્તરે જાણે કે મ્યુલ એકાઉન્ટ્સની ફેક્ટરી જ ખોલી હોય તેમ આખું નેટવર્ક કાર્યરત હતું. 'આ રકમ તથા એકાઉન્ટ્સની સંખ્યા હજુ વધી શકે છે'ASP ઘનશ્યામ ગૌતમએ કહ્યું કે, અત્યાર સુધીની માહિતી મુજબ અમે કુલ 134 એકાઉન્ટ્સની વિગતો મેળવી છે, જેમાં આશરે 21 કરોડ જેટલું ફ્રોડ જોવા મળ્યું છે. મને લાગે છે કે જેમ-જેમ અમે આની ઊંડી તપાસ કરીશું, તેમ-તેમ આ કદાચ માત્ર એક હિમશૈલાની ટોચ સાબિત થશે અને આ રકમ તથા એકાઉન્ટ્સની સંખ્યા હજુ વધી શકે છે. હાલમાં મુખ્ય આરોપીની શોધમાં પોલીસ લાગેલી છે. સૌથી મહત્વની વાત એ છે કે દશરથ નામનો જે વ્યક્તિ છે, તે કદાચ ગુજરાતનો એવો પહેલો વ્યક્તિ છે જેના પર બે વખત ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે. અત્યાર સુધી આ ગેંગમાં કુલ 10 આરોપીઓ સામે આવ્યા છે, જેમાંથી દશરથ (મુખ્ય આરોપી) હજુ ફરાર છે, જે ભરૂચ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. બાકીના 9 આરોપીઓની અમે ધરપકડ કરી લીધી છે. 'કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા ન આપવું'ભાવનગર પોલીસ જાહેર જનતાને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી વ્યક્તિને કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા ન આપવું. તેમજ ઉપરોકત ઇસમો પૈકી કોઇને પોતાના બેંક એકાઉન્ટની માહીતી કે પાસબુક ચેકબુક એ.ટી.એમ વિગેરે વસ્તુઓ આપેલ હોય તો બોરતળાવ પો.સ્ટેનો સંપર્ક કરવો અને સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત જ 1930 પર કોલ કરવો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:13 pm

કોલેજ વિદ્યાર્થિનીએ સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો:આવેગીક પરિપક્વતા અને મનોભાર પર અભ્યાસ, ચારૂત્તર વિદ્યા મંડળે ગ્રાન્ટ આપી

નલિની અરવિંદ અને ટી.વી. પટેલ આર્ટ્સ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની કાજલ એમ. ગોહિલે મનોવિજ્ઞાન વિષયમાં એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે ડૉ. હસમુખ એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં આવેગીક પરિપક્વતા અને મનો-શારીરિક મનોભારનો અભ્યાસ વિષય પર પોતાનો માઈનોર રિસર્ચ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ સંશોધન કાર્યમાં કાજલ ગોહિલે ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં આવેગીક પરિપક્વતા (Emotional Maturity) અને મનો-શારીરિક મનોભાર (Psychosomatic Stress) વચ્ચેના સંબંધનું વૈજ્ઞાનિક રીતે અધ્યયન કર્યું છે. આ અભ્યાસ વિદ્યાર્થીઓના ભાવનાત્મક વિકાસ, માનસિક દબાણ અને તેના શરીર તથા મન પર પડતા પ્રભાવ વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આજના સ્પર્ધાત્મક શૈક્ષણિક વાતાવરણમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવને સમજવા માટે આ પ્રકારનું સંશોધન અત્યંત ઉપયોગી છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી. એમ. પરમાર દ્વારા કાજલ ગોહિલ અને તેમના માર્ગદર્શક ડૉ. હસમુખ એમ. ચાવડાને આ શૈક્ષણિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આવા સંશોધન કાર્યો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સંશોધનક્ષમતા અને વિચારશીલતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચારૂત્તર વિદ્યા મંડળ દ્વારા આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીનીને ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. પ્રિન્સિપાલે આશા વ્યક્ત કરી કે કાજલ ગોહિલ ભવિષ્યમાં પણ મનોવિજ્ઞાન ક્ષેત્રે વધુ ઊંડું સંશોધન કરીને સમાજને ઉપયોગી યોગદાન આપશે. આ પ્રસંગે કોલેજના અન્ય પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પણ કાજલ ગોહિલને અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:13 pm

કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ભાજપનો ઉગ્ર વિરોધ:સુરેન્દ્રનગરમાં ધરણાં, મહિલા મોરચાએ કોંગ્રેસ અધ્યક્ષના ફોટાને ચપ્પલ મારી રોષ વ્યક્ત કર્યો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના નાગરિકોને 'અભણ' ગણાવતા નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના મેગા મોલ પાસે ભાજપ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર અને જિલ્લાના મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસને સદબુદ્ધિ મળે તે માટે એક કલાક સુધી રામધૂન પણ બોલાવવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓએ મલ્લિકાર્જુન ખડગેના ફોટાને ચપ્પલ મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના કાર્યકરોએ ખડગેના આ નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું અને તેમની તાત્કાલિક માફીની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:12 pm

ભીખ માંગવા ને ભંડારામાં મફત જમવા માટે માસૂમનું અપહણર:અમરોલીની 4 વર્ષની બાળકી અમદાવાદથી સુરક્ષિત મળી, 43 રેલવે સ્ટેશન અને 1500 CCTV તપાસ્યા બાદ આરોપી ઝડપાયો

સુરતના અમરોલી વિસ્તારમાંથી ગત 2 એપ્રિલના રોજ અપહરણ કરાયેલી 4 વર્ષની માસૂમ બાળકીને સુરત પોલીસે 84 કલાકના સઘન સર્ચ ઓપરેશન બાદ અમદાવાદના નારોલથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. મૂળ દાહોદના આરોપી પપ્પુ ઉર્ફે સીનિયા ખડિયાએ માત્ર ભીખ માંગવામાં સરળતા રહે અને લોકોની સહાનુભૂતિથી મફત જમવાનું મળી રહે તેવા વિચિત્ર હેતુથી આ અપહરણ કર્યું હતું. પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ 120થી વધુ પોલીસકર્મીઓની ટીમે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. 1500 સીસીટીવી અને સોશિયલ મીડિયાની મદદથી સર્ચ ઓપરેશનબાળકીની શોધખોળ માટે 5 પોલીસ ઈન્સ્પેક્ટર અને 9 પીએસઆઈ સહિતની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરતથી સાયણ અને વડોદરાથી મુંબઈ સુધીના રેલવે રૂટ પરના 1500થી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સાયણના જલારામ મંદિર પાસે ભંડારામાં જમતો અને ત્યારબાદ ટ્રેન મારફતે જતો જોવા મળ્યો હતો. આ સાથે જ 1000થી વધુ પોલીસ જવાનોએ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટા વાઇરલ કર્યા હતા, જેના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાતમી મળતા આરોપીને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. નાના બાળકો સાથે હોય તો લોકો જલ્દી પૈસા આપે છેપોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે પોતે બે બાળકોનો પિતા છે અને તેની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. તેનું માનવું હતું કે નાના બાળકો સાથે હોય તો લોકો જલ્દી પૈસા આપે છે અને ભંડારામાં જમવાનું સરળતાથી મળી રહે છે. આ જ લાલચમાં તેણે પડોશમાં રહેતી બાળકીને નિશાન બનાવી હતી. એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, મેડિકલ તપાસમાં બાળકી સાથે કોઈ શારીરિક છેડછાડ કે અઘટિત ઘટના બની હોવાનું સામે આવ્યું નથી, જે એક મોટી રાહતની બાબત છે. પોલીસની કામગીરી અને આગામી તપાસઆ સમગ્ર મેગા ઓપરેશનમાં સુરત પોલીસની સાથે રેલવે પોલીસ અને આરપીએફને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સાથે તેના પોતાના ગણાતા અન્ય બે બાળકો પણ જોવા મળ્યા હતા, જેના વાલીઓ અંગે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. 84 કલાક સુધી સતત ચાલેલા આ ઓપરેશનમાં ટેકનોલોજી અને જાહેર જનતાના સહયોગથી માસૂમ બાળકીને હેમખેમ પરિવાર સાથે મિલાવવામાં પોલીસ સફળ રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:07 pm

સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસની તપાસ:નિયમોના ભંગ બદલ કાર્યવાહી, સગીરોને રૂમ ન આપવા સૂચના; બે સંચાલકો સામે ગુનો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એસ.ઓ.જી. શાખા અને સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન તેમજ બી-ડિવિઝન પોલીસે શહેરની વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં આકસ્મિક ચેકિંગ કર્યું હતું. આ રેઇડ દરમિયાન પાવર હાઉસ પાસે આવેલી 'હોટલ ધ પેલેસ'ના સંચાલક ભવાનીસિંહ ક્રિપાલસિંહ જાડેજા અને એમ.પી. શાહ કોલેજ પાસે આવેલી 'હોટલ બ્લુ બર્ડ'ના સંચાલક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ બી.એન.એસ.ની કલમ ૨૨૩ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હોટલ સંચાલકોને કડક સૂચના આપી છે કે, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તેમના વાલીની સંમતિ વગર રૂમ ભાડે આપવા નહીં. આ ઉપરાંત, દરેક ગ્રાહકની વિગત 'પથિક' સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઇન એન્ટ્રી કરવી અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ એક મહિના સુધી સુરક્ષિત રાખવું. પોલીસ ટીમો દ્વારા શહેરની સેટર્ન હોટલ, શિવ-શક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ, આંગન હોટલ, વૃંદાવન હોટલ, સ્કાય ઇન હોટલ, ડાયમંડ હોટલ અને સન રાઇઝ હોટલ સહિત અન્ય સ્થળોએ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં SOG PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહીલ તેમજ એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:59 pm

સુરત વરાછા બેંક ચૂંટણી રિઝલ્ટ:પરિણામ પૂર્વધારણા મુજબ સહકાર પેનલના પક્ષમાં રહ્યું, તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી જીત મેળવી

સુરતની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા 'ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ'ના સંચાલક મંડળની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. અપેક્ષા મુજબ જ, બેંકમાં વર્ષોથી શાસન કરી રહેલી 'સહકાર પેનલ'નો ભવ્ય વિજય થયો છે. વિરોધ પક્ષના તમામ પડકારોને પછાડીને સહકાર પેનલે ક્લીન સ્વીપ મેળવી બેંકના વહીવટ પર પોતાની પકડ ફરી એકવાર સાબિત કરી દીધી છે. ધારૂકા શૈક્ષણિક કેમ્પસના ઓડિટોરીયમ ખાતે મતગણતરીઆજે વહેલી સવારથી જ કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધારૂકા શૈક્ષણિક કેમ્પસના ઓડિટોરીયમ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બેલેટ પેપર પદ્ધતિ અને મોટી સંખ્યામાં ઉમેદવારો હોવાને કારણે ગણતરીની પ્રક્રિયા ખૂબ જ ધીમી અને ચોકસાઈપૂર્વક ચાલી હતી. કુલ ત્રણ રાઉન્ડમાં યોજાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં શરૂઆતથી જ સહકાર પેનલના ઉમેદવારોએ વિરોધીઓ પર મોટી લીડ જાળવી રાખી હતી. 9,766 સભાસદોએ મતાધિકારનો ઉપયોગ કર્યોચૂંટણી માટે બેંકના કુલ 65,000 સભાસદોમાંથી 53,300 સભ્યો મતદાન માટે લાયક ઠર્યા હતા. જોકે, ઉત્સાહપૂર્વક થયેલા મતદાનમાં કુલ 9,766 સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન જાણવા મળ્યું હતું કે કુલ મતોમાંથી 8,785 મત માન્ય ગણાયા હતા, જ્યારે ટેકનિકલ ભૂલો કે ક્ષતિઓને કારણે 981 મતો અમાન્ય (રદ) જાહેર કરવામાં આવ્યા હતા. નવનિર્વાચિત ડિરેક્ટરોની પ્રથમ બોર્ડ મીટિંગ બોલાવાશેનિયમ મુજબ, મતગણતરીના આંકડા જાહેર થયા હોવા છતાં વિજયની સત્તાવાર જાહેરાત સહકારી ચૂંટણી પ્રાધિકરણ, નવી દિલ્હીની અંતિમ મંજૂરી બાદ જ કરવામાં આવશે. દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ નવનિર્વાચિત ડિરેક્ટરોની પ્રથમ બોર્ડ મીટિંગ બોલાવવામાં આવશે. આ બેઠકમાં બેંકના ચેરમેન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહસહકાર પેનલની એકતરફી જીતથી સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામો સ્પષ્ટ થતા જ ધારૂકા કેમ્પસની બહાર સમર્થકોએ વિજયના નારા લગાવ્યા હતા. સભાસદોએ ફરી એકવાર વર્તમાન શાસકોની પેનલ પર વિશ્વાસ મૂકતા બેંકના ભાવિ વિકાસ અને નવી યોજનાઓ અંગે આશા વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:46 pm

રાજ્ય સરકારી શિક્ષક સંઘના નવા પ્રમુખ નિયુક્ત:પરેશ ચૌધરી પ્રમુખ, નિલેશ આંબલીયા મહામંત્રી, રાજેન્દ્ર જોષી અધ્યક્ષ બન્યા

ગુજરાત રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની નવી રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા આ નિયુક્તિઓ કરાઈ છે. પાટણ જિલ્લાની જવાબદારી સંભાળતા પરેશભાઈ ચૌધરીને રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત, જામનગરના નિલેશભાઈ આંબલીયાને મહામંત્રી અને બનાસકાંઠા સંઘમાં જવાબદારી સંભાળતા રાજેન્દ્રભાઈ જોષીને અધ્યક્ષ તરીકે સ્વ-સંમતિથી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિઓ ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ પ્રમુખ એસ.ડી. જોશી અને પૂર્વ અધ્યક્ષ દિવ્યરાજસિંહ જાડેજા સહિત વર્ગ-2 તરીકે બઢતી પામેલા અન્ય કારોબારી હોદ્દેદારોનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. પૂર્વ રાજ્ય કારોબારીની અવધિ પૂર્ણ થતાં નવી કારોબારીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:31 pm

ગ્રિન્ડર એપ્લિકેશન પર મિત્રતા યુવકને ભારે પડી:જહાંગીરપુરામાં બે શખ્સોએ અવાવરુ જગ્યાએ લઈ જઈ બંધક બનાવીને 30 હજાર લૂંટી લીધા

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 'ગ્રિન્ડર' ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા કરી એક 26 વર્ષીય યુવકને અવાવરું ખેતરમાં બંધક બનાવી, મારપીટ કરી 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 18 માર્ચ 2026ના રોજ બનેલી આ ઘટનામાં રાજુભાઈ મેર અને નરેશ મારુ નામના બે શખ્સોએ વિશ્વાસઘાત કરી યુવકને બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવી લીધા હતા. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મુલાકાતના બહાને અવાવરૂ સ્થળે લઈ ગયામૂળ અમરેલીના અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહેતા પીડિત યુવકની મુલાકાત ડેટિંગ એપ્લિકેશન પર રાજુભાઈ મેર અને નરેશ મારુ સાથે થઈ હતી. આરોપીઓએ યુવકને વિશ્વાસમાં લઈ રિવાન્ટા વર્ણી પાસે રૂબરૂ મળવા બોલાવ્યો હતો. ત્યાંથી એક શખ્સ તેને પોતાની મોટર સાયકલ પર બેસાડી ઘોડા ગરનાળા ફાટક પાસે આવેલી એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં અન્ય સાગરીત અગાઉથી જ હાજર હતો. યુવકને ઢોર માર મારી લૂંટી લીધોખેતરમાં પહોંચતા જ બંને શખ્સોએ યુવક પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ યુવકને સામાજિક રીતે બદનામ કરવાની ધાક-ધમકી આપી તેને ડરાવી દીધો હતો. આ ભય હેઠળ યુવક પાસેથી તેનું એટીએમ કાર્ડ અને પીન નંબર બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ યુવકના બેન્ક ખાતામાંથી કુલ 30,000 રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસે ગુનો નોંધી બંને આરોપીની શોધખોળ શરૂ કરીભયમુક્ત થયા બાદ યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છાપરાભાઠા તાડવાડી વિસ્તારના રહેવાસી રાજુભાઈ મેર અને નરેશ સાજનભાઈ મારુ વિરુદ્ધ લૂંટ અને મારપીટનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:27 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતીમાં લાગવગનો આક્ષેપ:જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પાસ 30 ઉમેદવારોને ખોટી રીતે રિજેક્ટ કરાતા રજીસ્ટ્રારનો ઘેરાવ કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી ફરી એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં નોન ટિચિંગની 59 કાયમી જગ્યા પર ભરતી માટે 767 ઉમેદવારોએ 16 માર્ચના પરીક્ષા A આપી હતી. જે અગાઉ પરીક્ષા ફી ભર્યા બાદ ફાઇનલ સબમિટ ન કરતા 142 ઉમેદવારોને ઘેર લાયક ઠેરવવામાં આવ્યા હતા. જેમાં પણ બબ્બે વખત ફાઈનલ સબમિટના ઓપ્શનથી ઉમેદવારો ભૂલ કરી બેઠા હતા. ગેરલાયક ઠરતા રોસ જોવા મળ્યો હતો. જે બાદ આજે 30 જેટલા ઉમેદવારોને એજ્યુકેશન ડોક્યુમેન્ટ સબમિટ ન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા. જેથી તેઓ પરીક્ષા B નહીં આપી શકે. જોકે આ ઉમેદવારો એવા છે કે જેમનું ફોર્મ યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવ્યું. જે બાદ તેમની પરીક્ષા લેવામા આવી અને તેમને પાસ પણ કરવામાં આવ્યા પરંતુ બાદમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં એજ્યુકેશનના ડોક્યુમેન્ટ અપલોડ ન કર્યા હોવાનું કહી રીજેક્ટ કરવામાં આવ્યા છે. જોકે ઉમેદવારોએ યુનિવર્સિટી ન વેબસાઈટની એરરના આ થયું હોવાનો આક્ષેપ કરી કુલસચિવ અજયસિંહ જાડેજાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને યુનિવર્સિટીની ભરતીમાં સેટિંગ થયાનો આક્ષેપ કરાયો હતો. જોકે આ બાબતે કુલસચિવે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. અમરેલી જિલ્લામાંથી આવેલા ઉમેદવાર પાયલ બાબરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક ની ભરતી માટેની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં હું પાસ થઈ છું તેથી મને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી હતી. જોકે અમે જ્યારે અહીં આવ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમે ક્વોલિફાય નથી. કારણકે તમે ડોક્યુમેન્ટ સબમીટ કરેલા નથી. જોકે મેં ડોક્યુમેન્ટ સબમિટ કરેલા છે. અમને કહેવામાં આવ્યું કે ડોક્યુમેન્ટ સબમીટ કર્યા હોય તેનું પ્રુફ શું છે? અમે જે પ્રિન્ટ કાઢેલી છે તેમાં પણ ડોક્યુમેન્ટ સબમિટ બાબતે અમને બતાવતા નથી. આ તો એવું થયું કે યુનિવર્સિટીએ કાયમી નોકરી માટે મોઢામાં આપેલો કોળિયો પરત લઈ લીધો. પાંચ વાગ્યાના અમે અહીં આવેલા છીએ અને અત્યારે 08:00 વાગ્યા છે. આમ છતાં પણ અમને જવાબ આપવામાં આવ્યો નથી. મને પરીક્ષામાં 39.50 માર્ક આવેલા છે. અત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમે ગ્રેજ્યુએશન કર્યું નથી કારણકે એજ્યુકેશન ડોક્યુમેન્ટ અપલોડ થયા નથી. જો એવું જ હોય તો અમને પરીક્ષા શા માટે આપવા દીધી? અને પાસ શા માટે કર્યા? જ્યારે અન્ય ઉમેદવારે બિંદિયા રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમારું જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું. 25 થી 30 ઉમેદવારોને કહેવામાં આવ્યું કે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા જ નથી. જોકે મારી પાસે પ્રૂફ છે કે મેં ગ્રેજ્યુએશનની સેમેસ્ટર 6 ની માર્કશીટ અપલોડ કરેલી છે. યુનિવર્સિટીની ટેકનીકલ એરરના કારણે અમે શા માટે તેનો ભોગ બનીએ. કોઇ ફોટો અપલોડ કે સહી ભૂલી જાય પરંતુ અહીં તો તમામ ઉમેદવારો પોતાના એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ જ અપલોડ કરતા ભૂલી ગયા છે. તેવું કઈ રીતે હોઈ શકે. ધોરાજીના છત્રાસા ગામે રહું છું અને છેલ્લા છ મહિનાથી આ ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મારે 33.25 માર્ક છે. ત્રણ વાગ્યે અમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન હતું. SC કેટેગરીમાં મારો ત્રીજો ટર્ન હતો. અમે રજીસ્ટ્રાર સહિત તમામને રજૂઆત કરી પરંતુ કોઈ અમને સાંભળતું નથી. હું રાત્રે 03:00 વાગ્યે ઘરે પહોંચીશ. મને એકલી છોકરીને કઈ થયું તો જવાબદારી યુનિવર્સિટી લેશે? ઉમેદવાર પ્રમલભાઈએ જણાવ્યું હતું કે, હું અમરેલીથી આવું છું, આ ભરતી પ્રક્રિયામાં વિવાદનો શિકાર હું જ સૌથી પહેલા બન્યો છું. કારણ કે મને એવું કહેવામાં આવ્યું કે તમે ક્વોલિફિકેશન નાખ્યું નથી. મને પહેલા એવું લાગ્યું કે મારે એકને આવું થયું હશે પરંતુ મારા જેવા ૧૫-૨૦ ઉમેદવારો એવો શિકાર બનતા હું રજૂઆત કરવા ગયો હતો. ટેકનિકલ ભૂલ અનેક થતી હોય છે પરંતુ જો આવી રીતે જ રિજેક્ટ કરવાનું હતું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા જ લેવાની જરૂર ન હતી. એક પરીક્ષા પાસ કરી અને બીજી પરીક્ષામાં અમે ક્વોલિફાઇડ ન હોવાનું કહે છે તે યોગ્ય નથી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:24 pm