ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજરોજ તરસમિયા રોડ પર આવેલ મહાદેવનગર ની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતુ, આ આવાસ યોજના માંથી 94 ભાડુઆત ઝડપાતા હાલ તંત્ર દ્વારા ભાડુઆત અને મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસની મુદત આપવામાં આવી છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મૂળ લાભાર્થીઓના સ્થાને ભાડુઆત અગર બંધ હાલતમાં આવાસ જોવા મળતા હોય છે ત્યારે આ આવાસ યોજનાનો લાભાર્થીઓ ખરા અર્થમાં લાભ લઈ શકે તે માટે જુદી જુદી સાત ટીમ બનાવવામાં આવી હતી અને ટીમ દ્વારા સમય સમયાંતરે તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે આજરોજ તરસમિયા રોડ મહાદેવનગર ની સામે આવેલ 2548 ઇડબલ્યુએસ 1 પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 46 માં કુલ 252 આવાસ આવેલા છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર એન.બી વઢવાણિયાએ જણાવ્યું હતું કે, તપાસ હાથ ધરતા 252 પૈકી 94 આવાસમાં ભાડુઆત અને 92 આવાસમાં લાભાર્થીઓ તેમજ 66 આવાસ બંધ હાલતમાં મળી આવેલ આથી અધિકારીઓ દ્વારા ભાડુઆતોને નોટિસ ફટકારી સાત દિવસની અંદર આવાસ ખાલી કરી દેવા મુદત આપવામાં આવી છે જો સાત દિવસ બાદ પણ આવાસ ખાલી કરવામાં નહીં આવે તો મકાન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, તેમજ મૂળ માલિક દ્વારા ભાડૂઆત આવાસ ખાલી કરાવી સોસાયટી પ્રમુખનું આવાસ ખાલી કર્યા અંગેનું એન.ઓ.સી. રજૂ કરવાનું રહેશે, તેમજ જો કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા ખોટું એન.ઓ.સી. આપવામાં આવશે તો કો-ઓપરેટિવ સોસાયટી વિરૂદ્ધ કાર્યવાહિ કરવા જિલ્લા હાઉસીંગ રજિસ્ટ્રાર ભાવનગરને જાણ કરવામાં આવશે, તેમજ આવાસ યોજનામાં સતત ચાલતા ચેકિંગ ને પગલે ભાડું ખાતા લાભાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની આંગણવાડીઓમાં નવીનીકરણની એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે હેઠળ તાલુકાના વિવિધ ગામોના નંદઘરો હવે બાળકો માટે વધુ આકર્ષક અને સુવિધાજનક બનવા લાગ્યા છે. પાદરા તાલુકા હસ્તકની 48 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 90 ટકા જેટલા નંદઘરોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરિવર્તનથી બાળકોને આંગણવાડીમાં જવું વધુ ગમશે અને એક આદર્શ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ થશે. વિવિધ ગામોમાં કામગીરી પૂર્ણ અને માળખાકીય સુધારો રાજ્ય સરકારના પ્રોત્સાહનથી મોભા, કરખડી, ચોકારી, સાંઢાં, મહુવડ, મુજપુર અને ચાણસદ જેવા ગામોની આંગણવાડીઓમાં નવીનીકરણની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. આ કાયાકલ્પમાં રાજ્ય કક્ષાની ગ્રાન્ટની સાથે CSR (Corporate Social Responsibility) અને લોકભાગીદારીનો પણ અમૂલ્ય સહયોગ મળ્યો છે. આંગણવાડીઓની અંદર-બહાર સ્વચ્છતા, નાનું-મોટું સમારકામ, રંગરોગાન અને બાળકોને આકર્ષે તેવા સુંદર શૈક્ષણિક ભીંતચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. બાકીના નંદઘરોમાં પણ કામગીરી હાલ વેગમાં ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
ગાંધીનગરની GMERS સિવિલ હોસ્પિટલના ENT વિભાગે તબીબી જગતમાં એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ 60 વર્ષીય મહિલા દર્દીના ગળામાં રહેલી 12x9 સેમીની મહાકાય કેન્સરગ્રસ્ત ગાંઠને સાડા ચાર કલાકના જટિલ ઓપરેશન બાદ સફળતાપૂર્વક દૂર કરી છે. મહત્વનું છે કે, ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ માગી લેતી આ સર્જરી સરકારી યોજના હેઠળ તદ્દન મફત કરવામાં આવતા ગરીબ પરિવાર માટે સિવિલના તબીબો દેવદૂત સાબિત થયા છે. ગાંઠના કારણે શ્વાસનળી જમણી બાજુ ખસી ગઈ હતીપ્રાપ્ત વિગતો અનુસાર આ વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી ગળામાં મોટી ગાંઠની સમસ્યાથી પીડાતા હતા. સિવિલની ENT OPDમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ ગાંઠ થાઈરોઈડ ગ્રંથિની છે અને તેમાં કેન્સરના લક્ષણો છે. ગાંઠનું વજન આશરે 400 ગ્રામ જેટલું હતું અને તેનું કદ એટલું વિશાળ હતું કે તેને કારણે ગળાની અંદરની શ્વાસનળી જમણી બાજુ ખસી ગઈ હતી, જેના પગલે દર્દીનું હિમોગ્લોબિન અત્યંત ઓછું હોવાથી ઓપરેશન પૂર્વે 3 યુનિટ લોહી ચડાવી સ્થિતિ સ્થિર કરવામાં આવી હતી. ગાંઠને લીધે શ્વાસનળીનો આકાર બદલાઈ ગયો હતો11 ફેબ્રુઆરીના રોજ ડો. યોગેશ ગજ્જર અને કેન્સર સર્જન ડો. મોહિત કોરાટની ટીમે આ જટિલ સર્જરી હાથ ધરી હતી. આ ઓપરેશનમાં સૌથી મોટો પડકાર દર્દીને બેભાન કરવા માટેની ટ્યુબ નાખવાનો હતો. કારણ કે, ગાંઠને લીધે શ્વાસનળીનો આકાર બદલાઈ ગયો હતો. જોકે એનેસ્થેસિયા વિભાગના ડો. ધારાબેન અને ડો. વિશ્વાબેને ફ્લેક્સિબલ લેરીન્ગોસ્કોપ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પડકારને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. દર્દીનો બે લાખનો ખર્ચ બચ્યો, તબિયત સુધારા પરત્યારે આટલી મોટી જોખમી સર્જરી જો ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો અંદાજે 1.5થી 2 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ ગાંધીનગર સિવિલમાં આ સર્જરી સરકારની આયુષ્માન ભારત (PMJAY) યોજના અંતર્ગત સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. હાલમાં દર્દીની તબિયત સુધારા પર છે અને તેમને ICUમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. સિવિલના તબીબોની આ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી હોસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ છે.
ગુજરાત વિધાનસભામાં ખાનગી વિધેયકોની અગ્રતા નક્કી કરવા માટે યોજાયેલી બેલેટ પ્રક્રિયાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિધાનસભા નિયમ 140(ક) મુજબ ગૃહમાં કાર્યવાહી માટે 10 ફેબ્રુઆરીએ બેલેટ દ્વારા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના આધારે કયા ખાનગી વિધેયકને પહેલાં ચર્ચા અને રજૂઆતની તક મળશે તે નક્કી કરવામાં આવ્યું છે. બેલેટ પરિણામ મુજબ પીડિતોની સારવાર માટે વિશેષ ફંડ ઉભું કરવાની જોગવાઈ કરતું ખાનગી વિધેયક પ્રથમ ક્રમે આવ્યું છે, જેને ગૃહમાં અગ્રતા મળશે. આ વિધેયકને લઈને સદસ્યોમાં ખાસ રસ જોવા મળ્યો હતો. બીજી તરફ જળ પ્રદૂષણ નિવારણ સંબંધિત વિધેયક પાંચમા ક્રમે રહ્યું છે, જ્યારે બેરોજગારોને ભથ્થું આપવા બાબતનું ખાનગી વિધેયક નવમા ક્રમે રહ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખાનગી વિધેયકો રજૂ કરવા પ્રસ્તાવ આવ્યા હતા. તેમાં કેન્સર અને ડ્રગ્સ વ્યસન મુક્તિ માટેનું વિધેયક ડો. હસમુખ પટેલ દ્વારા રજૂ કરાયું છે. ગુજરાત રોજગાર બાંયધરી વિધેયક અને બેરોજગારી ભથ્થા સંબંધિત વિધેયક ઈમરાન ખેડાવાલા દ્વારા રજૂ કરાયા છે. રમતવીર પ્રોત્સાહન વિધેયક હાર્દિક પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે આરોગ્યનો અધિકાર વિધેયક અર્જુન મોઢવાડિયાએ રજૂ કર્યો છે. જળ પ્રદૂષણ નિવારણ વિધેયક અમિત શાહ દ્વારા રજૂ કરાયું છે, જ્યારે અશાંત ધારો (સુધારા) વિધેયક પણ ઈમરાન ખેડાવાલા દ્વારા પ્રસ્તાવિત છે. હવે ગૃહમાં અગ્રતા મુજબ ખાનગી વિધેયકો પર ચર્ચા હાથ ધરાશે અને સભ્યો પોતાના મુદ્દા પર સરકારનું ધ્યાન દોરશે. બેલેટ પ્રક્રિયા બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો માહોલ ગરમાયો છે, કારણ કે અનેક સામાજિક અને જાહેર હિતના મુદ્દાઓ હવે ગૃહમાં ગુંજવાના છે.
છોટા ઉદેપુરમાં ₹2.64 લાખનો દારૂ ઝડપાયો:ઈકો ગાડીમાંથી 1006 બોટલ સાથે એકની ધરપકડ
છોટા ઉદેપુર જિલ્લામાં રંગપુર પોલીસે કટારવાંટ પાસે ઓરસંગ પુલ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ઈકો ગાડીમાંથી ₹2,64,050/- ની કિંમતનો દારૂ મળી આવતા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ ₹5,14,050/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રંગપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. જલ્પાબેન પંડ્યાને બાતમી મળી હતી. બાતમી મુજબ, મધ્યપ્રદેશના કઠિવાડાથી એક ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લેહવાંટ તરફ આવી રહ્યો હતો. આ બાતમીના આધારે રંગપુર પોલીસે કટારવાંટ પાસે ઓરસંગ નદીના પુલ પર સઘન નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન, GJ 23 BD 6229 નંબરની શંકાસ્પદ ઈકો ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ₹2,64,050/- ની કિંમતની વિદેશી દારૂની કુલ 1006 બોટલ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો.આ મામલે પોલીસે સાવલી, વડોદરાના રહેવાસી પ્રશાંતભાઈ ગણપતભાઈ પરમારની ધરપકડ કરી છે. છોટા ઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના આવા પ્રયાસો અવારનવાર થતા રહે છે, જેને જિલ્લા પોલીસ નિષ્ફળ બનાવે છે. પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાંય બુટલેગર વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને દારૂનો જથ્થો અમદાવાદમાં ઘૂસાડી રહ્યા છે. થોડા દિવસ પહેલા હેલ્મેટની આડમાં લાખો રૂપિયાના દારૂનો પર્દાફાશ પીસીબીની ટીમે કર્યો હતો. જ્યારે પાર્સલમાં આવતા દારૂનો ભાંડો પણ ક્રાઈમ બ્રાંચે ફોડ્યો હતો. ગઈકાલે ઝોન 4ની લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ નરોડા પોલીસ સંયુક્ત ઓપરેશ હાથ ધરીને દારૂ ભરેલી સફારી કાર ઝડપી પાડી છે. નંબર પ્લેટ બીજી લગાવીને દારૂની હેરફેર થઈ રહી હતી. સફારી કારમાં અલગ-અલગ જગ્યાએ ચોરખાના બનાવી લાવવામાં આવેલો 2.58 લાખના દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કાર સાથે ત્રણની ધરપકડ કરીપોલીસને બાતમી મળી હતી કે, ટાટા સફારી સ્ટ્રોમ કારમાં દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસની ટીમ વોચમાં હતી, ત્યારે એક ટાટા સફારી કાર આવી રહી હતી. નરોડા ગેલેક્સી સર્કલ પાસે કારને રોકીને સચીન જસબીરસિંહ બાંગડ (રહે ઉદયપુર), વિકાશ રણવીર કશ્યપ (રહે, હરીયાણા) અને અરબાઝ ઈસ્તેખાર અહેમદ (રહે, રખીયાલ)ની ધરપકડ કરી હતી. કારમાંથી પોલીસને લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો છે. મોડીરાતે સાડાત્રણ વાગ્યાની આસપાસ નરોડા ગેલેક્ષી ચાર રસ્તા ખાતે જાહેર રોડ ઉપર આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો મળ્યો હતો, જેને દિનેશ નામના વ્યકિતએ મોકલાવ્યો હતો. એકબીજાની મદદગારીથી વગર પાસ પરમીટે પોતાની સફેદ કલરની ટાટા સફારી સ્ટ્રોમ ગાડીમાં દારૂ લાવ્યા હતા. કારના દરેક પાર્ટમાંથી દારૂ મળ્યોપોલીસે કારમાં તપાસમાં દરવાજાની અંદર સ્ક્રુ વડે ખોલીને જોતા દરવાજામાંથી દારૂ મળ્યો, ડેકીમાં સ્પેર વ્હીલની જગ્યા પાસેથી, બોનેટમાં એન્જિન પાસેથી એમ કારમાં અલગ-અલગ જગ્યા ચોરખાનું બનાવી લખો રૂપિયાની દારૂ લાવવામાં આવ્યો હતો, જેને પોલીસ ઝડપી પાડ્યો છે. કારની નંબર પ્લેટ પણ ખોટી નીકળીકારની તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, આરોપીઓએ ખોટી નંબર પ્લેટ લાગવી છે. પોલીસે ટાટા સફારી સ્ટ્રોમ ગાડીનો એન્જીન નંબર જોતા તેમજ ચેસીસ નંબર જોયો હતો. બાદમાં ઈ-ગુજકોપ એપ્લીકતેશનમાં સર્ચ કરતા આરટીઓની નંબર પ્લેટ ખોટુ હોવાનું સામે આવ્યુ હતું. ટાટા સફારી સ્ટ્રોમ ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અને ગુનાહીત કાવતરૂ રચ્યુ હતું. પોલીસે આ મામલે ત્રણેયની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને 2.58 લાખ રૂપિયાનો દારૂ, બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામલ જપ્ત કર્યો છે.
ગુજરાત રાજ્યની આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ સમાન આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. વર્ષોથી પડતર 18 જેટલી માંગણીઓને લઈ ‘ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન’ દ્વારા સરકારને અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બહેનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો આગામી બજેટમાં તેમના વેતન વધારા અને સ્માર્ટફોન જેવી પાયાની જરૂરિયાતો પર નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેવા આપતી આ આશા વર્કરોને 2018 પછી કેન્દ્ર સરકાર અને 2022 પછી રાજ્ય સરકાર દ્વારા વેતનમાં કોઈ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી. હાઈકોર્ટમાં કેસ જીત્યા હોવા છતાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો આક્ષેપ યુનિયનના અગ્રણીઓએ કર્યો છે. બહેનોની મુખ્ય માંગ છે કે, તેમને લઘુત્તમ વેતન મુજબ પગાર મળે અને ફિક્સ પગારદાર તરીકે નિમણૂક આપવામાં આવે. સરકાર દ્વારા હવે આશા વર્કરો પર ઓનલાઈન કામગીરી કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે હેતલબેન પટેલ અને પારુલબેન કુરકુટિયાએ જણાવ્યું કે, અમારી પાસે સ્માર્ટફોન નથી, છતાં અંગત મોબાઈલથી કામ કરવા દબાણ કરાય છે. જો સરકારને સ્માર્ટ કામગીરી જોઈતી હોય તો સ્માર્ટફોન, ઇન્ટરનેટ ભથ્થું અને સ્માર્ટ વેતન આપવું પડશે. તેમની મુખ્ય 18 માંગણીઓમાં લઘુત્તમ વેતન અને ફિક્સ પગારની નીતિ અમલમાં મૂકવી, ઓનલાઈન કામગીરી માટે સારા સ્માર્ટફોન અને ટ્રેનિંગ આપવી, કામના કલાકો નક્કી કરી સામાજિક સુરક્ષાના લાભો આપવા, પેન્શન, ગ્રેચ્યુઈટી અને મોંઘવારી મુજબ ઈન્સેન્ટિવ આપવું, તેમજ વર્ષમાં બે જોડી ડ્રેસ અને સિલાઈના નાણાં ચૂકવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. યુનિયને ચીમકી આપી છે કે, જો 10 માર્ચ 2025 સુધીમાં યોગ્ય ઉકેલ નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હડતાળ દરમિયાન જો પ્રસૂતિ કે રસીકરણની સેવાઓમાં કોઈ જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહનું રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવશે. શહેરને નવું ઓડિટોરિયમ મળી રહે તે માટે હાલમાં ડીપીઆર તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી અઢી વર્ષમાં નવું ગાંધીનગર ગૃહ તૈયાર થઇ જાય તેવો અંદાજ છે. આ વખતે મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પણ તેના માટેની નાણાંની ફાળવણી કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા નગરજનોને એક નવલું નજરાણું આપવામાં આવશે. હાલમાં જે સ્થળે ગાંધીનગર ગૃહ છે, તે જ સ્થળે નવું ઓડિટોરિયમ બનાવવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. 2153 સ્કવેર ફૂટમાં વિસ્તરેલું આ ગૃહ નવા આકર્ષણ સાથે ઉભું કરવામાં આવશે. 912 વ્યક્તિ માટે બેઠક વ્યવસ્થાકોર્પોરેશન દ્વારા તેની ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે. હાલમાં આ નવા ઓડિટોરિયમના ખર્ચની મંજૂરી માટે કમિશનર પાસે મોકલવામાં આવી છે. હાલમાં આ ગૃહ 912 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા સાથેનું છે જેમાં વધારો કરીને 1035 ની સીટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવશે. અંદાજિત 38 કરોડનો ખર્ચઓડિટોરિયમને બાલ્કની સાથેનો લુક આપવામાં આવશે. સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સાધનોથી આ ઓડિટોરિયમને સજ્જ કરવામાં આવશે. આ ઓડિટોરિયમનો અંદાજિત ખર્ચ 38 કરોડની આસપાસનો આંકવામાં આવ્યો છે. હાલમાં જે જૂનું ગાંધીનગર ગૃહ છે તેની પાસેના શૌચાલયનો ભાગ પણ આ બાંધકામમાં આવરી લેવામાં આવશે અને મોટું ઓડિટોરિયમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આસપાસની પણ થોડી જગ્યા આ ઓડિટોરિયમમાં સમાવિષ્ટ થઇ જશે. પાર્કિંગની સમસ્યા નિવારવા બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થાહાલમાં ગાંધીનગર ગૃહની આસપાસ સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે. જેનો નિવેડો લાવવા માટે નવા ઓડિટોરિયમમાં બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બેઝમેન્ટ અને સેમી બેઝમેન્ટ એમ બે પ્રકારના પાર્કિંગ હશે. આ પાર્કિંગમાં 55 ફોર વહીલર અને 100 ટુ વહીલર પાર્ક કરી શકાય તેવી વ્યસ્થા ઉભી કરવામાં આવશે. નવા ગાંધીનગર ગૃહને હેરિટેજ લુક આપવામાં આવશેવડોદરા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સીટી એન્જીનીયર પ્રમોદ વસાવાએ જણાવ્યું હતું કે, નવા ગાંધીનગર ગૃહને હેરિટેજ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવશે. વડોદરા શહેરની ઓળખ પ્રમાણે તેની ડિઝાઇન કરવામાં આવશે તેઓએ ઉમેર્યું હતું કે, ખર્ચની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવશે અને વર્ક ઓર્ડર આપ્યા બાદ 24 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. નવા ઓડિટોરિયમમાં આ સુવિધાઓ હશે - જગ્યાના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવા માટે અર્ધ-ભોંયરામાં પાર્કિંગની જોગવાઈ - વધેલી વાહન ક્ષમતાને સમાવવા માટે સંપૂર્ણ ભોંયરામાં પાર્કિંગનો ઉમેરો - વધુ ઓક્યુપન્સી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 1,044 બેઠક વ્યવસ્થાનો સમાવેશ. - પ્રેક્ષકોની ક્ષમતા અને આરામ વધારવા માટે મોટી બાલ્કની બેઠક વિસ્તારનો સમાવેશ. - અપગ્રેડ કરેલ કાર્યાત્મક અને અવકાશી જરૂરિયાતોને ટેકો આપવા માટે ઓડિટોરિયમ બિલ્ડિંગના કદનું વિસ્તરણ. - વડોદરા શહેરના ગીચ વિસ્તારના પાર્કિંગની સમસ્યાને દૂર કરવાના હેતુથી બેઝમેન્ટ બાંધકામ - બેઝમેન્ટ વેન્ટિલેશન અને બેઝમેન્ટ ફાયર ડિટેક્શન સિસ્ટમ - અદ્યતન સ્તરની ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પૂર્વે પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે સઘન ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત વિવિધ એજન્સીઓ દ્વારા 'મિનરલ વોટર'ના નામે વેંચાતા શંકાસ્પદ વોટર જગનાં કારખાના ખાતે ઓચિંતી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 95 એકમોમાં તપાસ કરવામાં આવતા કુલ 55 સ્થળના નમુના અનસેફ જાહેર થયા છે. જેને લઈને આ તમામ એકમો સીલ કરી દેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ 40 કરતા વધુ એકમો સીલ થઈ ચૂક્યા છે. અને બાકીના એકમો સીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આગામી દિવસોમાં રાજકોટનાં તમામ 250 કારખાનાઓમાંથી પાણીના નમૂનાઓ લઈ જ્યાં કોઈપણ પ્રકારની ખામી જણાશે તેવા એકમો સીલ કરવામાં આવશે. રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા મિનરલ વોટરના પ્લાન્ટ પર દરોડા પાડીને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બેડીનાકા વિસ્તારમાં દ્વારિકાધીશ નામે પ્લાન્ટ ધરાવતા કાનાભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્લાન્ટ સીલ રાખવાની સૂચના આપવામાં આવી છે. પરમ દિવસે અધિકારીઓ પ્લાન્ટ પર આવ્યા હતા અને સેમ્પલ લઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ જ સીલ ખોલવામાં આવશે. હાલમાં પ્લાન્ટ બંધ છે. જોકે અમારા પાણીનો રિપોર્ટ પોઝિટિવ આવે તેવી આશા છે. જોકે સીલ ક્યારે ખોલવામાં આવશે તેની કોઈ માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી નહીં હોવાનુ તેમણે જણાવ્યું હતું. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પાણીજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં પાણીના જગનું વેચાણ કરતા 95 જેટલા એકમોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 55 નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરી મળી આવતા તે 'અનસેટિસફેક્ટરી' જાહેર કરવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા અપ્રમાણિત 55 જેટલા પાણીના જગ વિતરકોના એકમો સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 40થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે. તો આગામી દિવસોમાં બાકી એકમો સીલ કરવામાં આવશે. રાજકોટમાં અંદાજે 250 જેટલા પાણીના જગ વિતરણ કારખાનાઓ છે, જેમના નમૂનાઓની સમયાંતરે તપાસ કરવામાં આવશે. આરોગ્ય અધિકારીએ તમામ વિતરકોને સૂચના આપી છે કે જો તેઓ રો-મટીરીયલ તરીકે બોરવેલના પાણીનો ઉપયોગ કરતા હોય, તો તેને યોગ્ય ક્લોરીનેશન ટ્રીટમેન્ટ આપ્યા બાદ જ વિતરણ કરવું ખાસ જરૂરી છે. શહેરમાં વોટર સેમ્પલિંગ અને સીલિંગની પ્રક્રિયા હાલ કાર્યરત છે. ખાસ કરીને જે લોકો RO, UV અથવા TDS કંટ્રોલર જેવા ફિલ્ટર પ્લાન્ટ ચલાવે છે, તેમણે સમયાંતરે ફિલ્ટર બદલવા અને દર મહિને પ્લાન્ટનું મેન્ટેનન્સ કરાવવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, જગ દ્વારા પાણીનું વિતરણ કરતા વેપારીઓને પણ સ્વચ્છતા અને હાઈજીન જાળવવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બરફના મોટા કારખાનાઓ અને FSSAI માન્ય પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના એકમોમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે. હાલમાં આરોગ્ય વિભાગ અને કેમિસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ટેસ્ટ અને MPN કાઉન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત પાણી મળી રહે. આ માટે રાજકોટમાં મિનરલ વોટર અને બરફ જેવી ઉનાળામાં ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન અને વેંચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. અશુદ્ધ પાણી અને બરફ વેચતા એકમો સામે લાલઆંખ રાજકોટના વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ફેલાયેલા વિવિધ પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરીઓમાં તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ઘણા એકમોમાં પાણીની શુદ્ધતા માટેના જરૂરી માપદંડો જાળવવામાં આવતા નહોતા. ઉનાળામાં પાણી અને બરફની માંગમાં તોતિંગ વધારો થતો હોય છે, જેનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને શુદ્ધિકરણની પ્રક્રિયામાં ખામી જોવા મળતા 55 એકમો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાણીના નમુના અનસેફ જાહેર થયેલા એકમો * વેસ્ટ ઝોન: જીંજલ સેલ્સ (શાસ્ત્રીનગર), દ્વારકેશ ડ્રિંકિંગ વોટર (રૈયાધાર), વિરાજ ડ્રિંકિંગ વોટર, ક્રિશ ડ્રિંકિંગ વોટર (શિતલપાર્ક), દેવરાજ ડ્રિંકિંગ વોટર, ઓમ ચિલ્ડ વોટર (એનિમલ હોસ્ટેલ પાસે), આદિત્ય મિનરલ વોટર, ઝરણાં વોટર સપ્લાયર્સ (શ્યામનગર), રામ આર.ઓ. વોટર, બંસી આર.ઓ. વોટર (રૈયાગામ), શિવ ડ્રિંકિંગ વોટર અને કિસ્મત ડ્રિંકિંગ વોટર સહિતના એકમો. * સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોન: દ્વારિકાધીશ મિનરલ વોટર (બેડીનાકા), લીઓ ફ્રેશ વોટર (ગીતાનગર), જીવનદિપ એન્ટરપ્રાઈઝ, આશાપુરા વોટર (લક્ષ્મીવાડી), સૈફા ડ્રિંકિંગ વોટર (પોપટપરા), જય દ્વારકાધિશ વોટર (કેવડાવાડી), જય ચામુંડા મિનરલ વોટર (સોલવન્ટ), ભગવતી વોટર સપ્લાયર (ગુલાબનગર), ઉમેશ મિનરલ વોટર અને ક્રિષ્ના આઈસ ફેક્ટરી (ખોખડદડ નદી પાસે) જેવા એકમોનો સમાવેશ થાય છે. ઉપરાંત સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ અને પરમધામ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા અનેક વોટર પ્લાન્ટ્સ પણ નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મનપા દ્વારા હાલ મિનરલ વોટર જગનું વેચાણ કરતા એકમોની તપાસ હાથ ધરી છે. સાથે સાથે મનપા દ્વારા વિતરણ થતા પાણીના નમુના લેવા માટેની કામગીરી પણ ચાલુ છે. જેમાં મનપાના પાણી વિતરણ વ્યવસ્થાના 37 નમૂનાઓ પીવા માટે અયોગ્ય સાબિત થયા છે. જોકે, તમામ ઝોનમાં કેમિકલ પેરામીટરના નમૂનાઓ પાસ થયા છે તે એક રાહતના સમાચાર છે. આગામી દિવસોમાં બરફના કારખાનાઓમાં પણ આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે ઉનાળા દરમિયાન પાણી ઉકાળીને પીવું અને શંકાસ્પદ જગ્યાએથી બરફ કે પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ.
છેલ્લા છ મહિનાથી વારંવાર ન્યુમોનિયાનો ભોગ બની રહેલા બાળકની વડોદરામાં સારવાર કરવામાં આવતા શ્વાસનળીમાં બોરનો ઠળિયો ફસાયેલો હોવાનું માલૂમ પડ્યું છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબોએ સફળ સર્જરી કરી બાળકની શ્વાસનળીમાં ફસાયેલા ઠળિયાને બહાર કાઢ્યો હતો. 8 વર્ષીય બાળક અને તેના માતાપિતા છ મહિનાથી પરેશાન થઈ રહ્યા હતા અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે જતા હતા પરંતુ, નિદાન થતું ન હતું. અંતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બ્રોન્કોસ્કોપની મદદથી ઠળિયો હોવાનું માલૂમ પડતા ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં સારવાર કરાવ્યા બાદ માતાપિતા વડોદરા પહોંચ્યા હતારાજસ્થાનના દોલપુર જિલ્લાના 8 વર્ષીય બાળકન ન્યુમોનિયા થવાના કારણે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલના ENT વિભાગમાં દાખલ કરવા માં આવ્યો હતો. આ બાળક છ મહિના અગાઉ જંગલી બોરનો ઠળિયો ગળી જાય છે જે બાબતે માતા પિતા અજાણ હોય છે. ત્યારબાદ દર્દીને ઓક્ટોબર 2025માં 7 દિવસ માટે ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં દર્દીને ફેફસાના ચેપ માટે સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વધુ ખર્ચ હોવાથી આખરે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્વાસનળીમાં બોરના ઠળિયાના કારણે વારંવાર શ્વાસનળીનું ઈન્ફેકશન થતું હતુંઆ અંગે ઈએનટી ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજ અને એસએસજી હોસ્પિટલના એસોસિએટ પ્રોફેસર ડૉ જયમન રાવલે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં એક આઠ વર્ષનું બાળક વારંવાર શ્વાસનળીના ઇન્ફેક્શન સાથે અમારી જોડે આવ્યું હતું. બાળકના પેરન્ટસને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવું કીધું કે પેશન્ટ છ મહિના પહેલા એક્સિડેન્ટલી દેશી બોરનો ઠળિયો ગળી ગયો હશે. જેના કારણે એને વારંવાર શ્વાસનળીનું ઇન્ફેક્શન થતું હતું. આ માટે ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ રહ્યું હતું, એના માટે એને શ્વાસનળીની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી સાથે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા પણ કોઈ સુધારો થયો નહોતો. બાળકને વારંવાર કફિંગ અને શ્વાસનું ઇન્ફેક્શન થયા કરતું હતું. જેથી તે રાજસ્થાનથી આપણી વડોદરાની પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં સારવાર માટે આવ્યો હતો. જ્યાં તેના બાળકોના વિભાગમાં બધા ટેસ્ટ કરવામાં આવ્યા અને એને ન્યુમોનિયા તરીકે ટ્રીટ કરવામાં આવ્યું હતું. ત્યાં લગભગ બાળક એક મહિના સુધી એડમિટ રહ્યું પણ એની કોઈ ફર્ક પડ્યો નહીં. તેના પછી બાળકનો સીટી સ્કેન કરવામાં આવ્યો હતો તેમ જાણવા મળ્યું કે બાળક હિસ્ટ્રી આપતું હતું એ પ્રમાણે એની શ્વાસનળીમાં ફેફસામાં જમણી બાજુ બોરનો ઠળિયો ફસાઈ ગયેલો હતો. જેના કારણે એને આ તકલીફ રહેતી હતી. ત્યાં બાળકને અગાઉ આગળની ટ્રીટમેન્ટ માટે બહુ એફોર્ડિંગ નહોતું એટલે બાળકને અહીં રીફર કરવામાં આવ્યું હતું. 6 મહિના સુધી શ્વાસનળીમાં બોરનો ઠળિયો ફસાયેલો રહ્યોવધુમાં કહ્યું કે, બાળક જે દિવસે અહીં દાખલ થયું તરત અમે રાત્રે એના બધા બીજા ટેસ્ટ કરાવી, અહીંના બાળકોના ડોક્ટરને બતાવી અને બીજા જ દિવસે એને બ્રોન્કોસ્કોપી (જેને શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કહીએ છીએ) એના માટે અમે સર્જરીમાં પોસ્ટ કરી દીધું હતું. બીજે દિવસે સવારે બ્રોન્કોસ્કોપી કરીને જોયું તો શ્વાસનળીમાં ઠળિયો ફસાયેલો જ હતો જે તરત કાઢી નાખવામાં આવ્યો છે. આ કિસ્સામાં મહત્વની નબાત એ છે કે છ મહિનાથી બાળક શ્વાસનળીમાં બોરનો ઠળિયો લઈને ફરતું હતું, વારંવાર એને ન્યુમોનિયા થયા કરતો હતો અને જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો તો અંદરથી ફોરેન બોડી નીકળી હતી. ફોરેન બોડી પાંચ તારીખના સીટી સ્કેનમાં જમણી બાજુની શ્વાસનળીમાં હતું. જ્યારે અમે બ્રોન્કોસ્કોપી કરીને દૂરબીનથી કાઢ્યું તો એ ખસીને જમણી બાજુથી ડાબી બાજુ આવી ગયું હતું. પણ એને વ્યવસ્થિત રીતે રિમૂવ કરી દેવામાં આવ્યું છે. નાના બાળકોના માતાપિતાને તબીબનું ખાસ સૂચનવધુમાં કહ્યું કે, બાળકની હાલત અત્યારે એકદમ સુધારામાં છે. જ્યારે બાળકો આવા લાંબા સમયથી ન્યુમોનિયાની કમ્પ્લેન લઈને આવતું હોય, જેમાં એન્ટીબાયોટીકથી ઇમ્પ્રૂવમેન્ટ ના થતું હોય, એવા કેસમાં બાળકનું પ્રોપર ઈએનટી (ENT) ઇવેલ્યુએશન કરાવવું જોઈએ. કારણ કે આજકાલ એવા ઘણા કિસ્સા બને છે કે બાળક રમતા-રમતા કોઈપણ પ્રકારના સીડ્સ, ઠળિયા, રમકડાં, પીન, સિક્કા, કચુકા આવું બધું ગળી જતા હોય છે. તો એક પેરેન્ટ્સ માટે એક મેસેજ એ છે કે બાળકને આવું લાંબા સમયથી શ્વાસનળીની તકલીફ રહેતી હોય અને જરા પણ ડાઉટ હોય તો એમણે તરત ઈએનટી સર્જનનો અને બાળકોના ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. બાળકના માતાપિતાએ રાહતનો શ્વાસ લીધોબાળકના પિતાએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનથી અહીંયા સારવાર માટે આવ્યો છું. અહીંયા ખૂબ સારી સુવિધા છે, દીકરો ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને ન્યુમોનિયાની બીમારી બતાવવામાં આવી હતી. રાજસ્થાન સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પરંતુ કોઈ ફર્ક પડ્યો નહોતો. છેલ્લા એક વર્ષથી તે ને આ બીમારી હતી. અહીંયા આવ્યા બાદ બોરનો ઠળિયો બહાર કાઢવામાં આવ્યો છે. આ સર્જરી માટે ENT વિભાગના તબીબની ટીમ ડૉ.જયમન રાવલ અને ડૉ. આનંદ ચૌધરી તથા એનેસ્થેટિસ્ટ ડૉ નિમિષા અને ડૉ દીપિકા દ્વારા દર્દી ને બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા દ્વારા ડાબી બાજુના ફેફસાની નળીમાંથી ફસાયેલો જંગલી બોરનો ઠળિયો જે જમણી બાજુથી ખસીને ડાબી બાજુ ગયો હતો, સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં યોજાશે. વિધાનસભા સચિવાલય દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-11 તથા નિયમ 10(2) મુજબ હાથ ધરાશે. એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશેજાહેરનામા અનુસાર, ઉપાધ્યક્ષ પદ માટેની ઉમેદવારી દરખાસ્ત 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:00 વાગ્યા સુધી રજૂ કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈ પણ દરખાસ્ત સ્વીકારવામાં આવશે નહીં. ચૂંટણી પ્રક્રિયામાં એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈ પણ સભ્ય પોતાનાં નામની દરખાસ્ત રજૂ કરી શકશે નહીં. ઉમેદવારી માટે અન્ય સભ્ય દ્વારા દરખાસ્ત રજૂ કરવી ફરજિયાત રહેશે. 16 ફેબ્રુઆરીએ ગૃહમાં મતદાનઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને સત્તાધારી તથા વિપક્ષ પક્ષોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. 16 ફેબ્રુઆરીએ ગૃહમાં મતદાન બાદ નવા ઉપાધ્યક્ષની પસંદગી થશે.
અમદાવાદ શહેરની આરાધ્ય દેવી નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની બીજી નગર યાત્રા 26મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય રીતે યોજાવાની છે. નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ આ અંગે માહિતી આપી હતી. આ વખતે આ યાત્રાની ખાસિયત એ રહેશે કે, આ વખતે ખાડિયા અને રાયપુર વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવશે. યાત્રાનો પ્રારંભ સવારે 7 વાગ્યે માતાજીના ગર્ભગૃહમાંથી ચલિત મૂર્તિને રથમાં બિરાજમાન કરવાથી થશે. આ નગરયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી શકે તેવી શક્યતા છે. તેમના હસ્તે યાત્રાનો પ્રારંભ થઈ શકે તેવી શક્યતા છે. માણેકનાથ બાબાના મંદિરે માતાજીની આરતી યોજાશેનગરયાત્રાનો રૂટ શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને આવરી લેતો રહેશે. ત્રણ દરવાજા ખાતે અખંડ દીવાના દર્શન માટે રથ બે મિનિટ માટે રોકાશે. માણેકનાથ બાબાના મંદિરે માતાજીની આરતી યોજાશે. રતનપોળ અને ખાડિયા ચાર રસ્તા પાસે પાંચ મિનિટનો વિરામ રહેશે. આગળ રાયપુર ચકલા સ્થિત ચક્રેશ્વર મહાદેવ મંદિરે આરતી અને દર્શન થશે, જ્યારે ઢાળની પોળ ખાતે પાંચ મિનિટ રોકાણ રહેશે. મ્યુનિસિપલ કોઠા ખાતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા માતાજીની આરતી કરવામાં આવશે. મહાલક્ષ્મી મંદિરે 20 મિનિટનો વિરામ હશે યાત્રા જગન્નાથ મંદિર પહોંચશે, જ્યાં નગરદેવી નગરદેવતાના દ્વારે જઈ આરતી થશે. ત્યારબાદ રિવરફ્રન્ટ સ્થિત મહાલક્ષ્મી મંદિરે સાબરમતી માતાની આરતી સાથે 20 મિનિટનો વિરામ રાખવામાં આવ્યો છે. વસંત ચોક સ્થિત ગણેશ મંદિરે આરતી બાદ યાત્રા બહુચરાજી મંદિરે પહોંચશે. અંતે યાત્રા નિજ મંદિરે પરત ફરશે અને ત્યાં 15 મિનિટનો નાનકડો હવન યોજાશે. 5થી 7 હજાર લોકો માટે ભંડારાનું આયોજનનગરયાત્રા દરમિયાન 500 કિલો બુંદીનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવશે. યાત્રાના સમાપન પ્રસંગે 5થી 7 હજાર લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાડુ અને ફૂલવડી પ્રસાદરૂપે પીરસાશે. આ નગરયાત્રાને લઈને શહેરના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર સચિવાલયમાં ‘ભાષીણી’ AI ટૂલ પર વર્કશોપ:હવે સરકારી વિભાગોમાં વિવિધ ભાષામાં સરળ સંવાદ શક્ય
ભારત સરકારે લોન્ચ કરેલા ‘ભાષીણી’ એઆઈ પ્રોજેક્ટ અંતર્ગત આજે ગાંધીનગર સચિવાલય ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કુલ 236 કર્મચારીઓ હાજર રહ્યા હતા. સરકારી કામગીરીમાં ગતિ અને પારદર્શિતા વધશેભારત જેવા બહુમુખી ભાષા ધરાવતા દેશમાં દરેક માતૃભાષાને સન્માન મળે અને વિવિધ ભાષાઓ વચ્ચે સંવાદ સરળ બને તે હેતુથી કેન્દ્ર સરકારે આ એઆઈ આધારિત ભાષીણી ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ દ્વારા દેશની વિવિધ ભાષાઓ ઉપરાંત અન્ય દેશોની ભાષાઓ સાથે પણ સરળતાથી અનુવાદ અને સંવાદ શક્ય બનશે, જેના કારણે સરકારી કામગીરીમાં ગતિ અને પારદર્શિતા વધશે. ટૂલથી નાગરિકોને પણ ફાયદો થશેવર્કશોપ દરમિયાન ભારત સરકારના અધિકારીઓએ ભાષીણી ટૂલના ઉપયોગ, તેની ટેકનિકલ વિશેષતાઓ અને કાર્યપદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ટૂલનો વધુમાં વધુ ઉપયોગ થાય તો નાગરિકોને પોતાની માતૃભાષામાં સરકારી સેવાઓ પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. દેશની દરેક ભાષાને સન્માન આપવાની નેમઃ અર્જુન મોઢવાડિયાસાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીની દ્રષ્ટિ અનુસાર દેશની દરેક ભાષાને સન્માન આપવાની નેમ સાથે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ભાષીણી એઆઈ ટૂલ સરકારી તંત્ર માટે એક અસરકારક સાધન સાબિત થશે અને વિવિધ ભાષાઓ વચ્ચેની દિવાલ તોડી સંવાદને સરળ બનાવશે. રાજ્ય સરકાર દ્વારા પણ તમામ વિભાગોને આ ટૂલનો વ્યાપક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી શાસન-પ્રશાસન વધુ લોકકેન્દ્રિત અને સુગમ બની શકે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. આ મામલે કુલ છ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ગુનામાં આરોપીઓએ 8,586 ચોરસ મીટર સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કાવતરું રચ્યું હતું. આ જમીનની હાલની બજાર કિંમત આશરે રૂ. 2.80 કરોડ આંકવામાં આવી છે. પોલીસે જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉંમરભાઈ ખફી, નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને તેમની ટીમે જગદીશ ગણેશભાઈ ચોવટીયા, રાજેશ કાંતિલાલ મારુ અને યજ્ઞેશ રતિલાલ રાણપરીયાની અટકાયત કરી હતી. તેમના નિવેદનો નોંધ્યા બાદ ત્રણેયને અદાલત સમક્ષ રજૂ કરાતા જેલમાં મોકલી દેવાનો આદેશ થયો છે. આ કેસમાં હજુ ત્રણ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 15 જેટલા વ્યક્તિઓના નિવેદનો પણ નોંધ્યા છે.
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આગામી 14 ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય 'આદિવાસી મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વલસાડના સાંસદ ધવલ પટેલે આ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. 14 ફેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 9:00 વાગ્યે વાંસદાના હનુમાનબારી વિસ્તારથી એક વિશાળ રેલીનું પ્રસ્થાન થશે. આ રેલી વાંસદાના ગાંધી મેદાન ખાતે સમાપ્ત થશે, જ્યાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ મહાસંમેલન માત્ર એક રાજકીય મેળાવડો નહીં, પરંતુ આદિવાસી પરંપરાનું પ્રદર્શન પણ બની રહેશે. જેમાં આદિવાસી સમાજની વિશિષ્ટ પરંપરાગત વાનગીઓ, પહેરવેશ અને લોકનૃત્ય દ્વારા સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળશે. ગાંધી મેદાન ખાતે યોજાનારા આ મુખ્ય કાર્યક્રમમાં આદિવાસી સમાજ માટે વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. જેમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવા અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અરવિંદ પટેલનો સમાવેશ થાય છે. વલસાડ-ડાંગ સંસદીય વિસ્તારના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ સંમેલનનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજની એકતા અને તેમની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે. તેમણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી ભાઈ-બહેનોને આ ઐતિહાસિક સંમેલન અને રેલીમાં જોડાવા વિનંતી કરી છે. વલસાડના સાંસદ ધવલ પટેલ માહિતી આપતા જણાવે છે કે 14મી ફેબ્રુઆરી વાંસદા ખાતે એક ભવ્ય આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય હેતુ ખાસ કરીને આપણું જે આદિવાસી સમાજની વાનગીઓ છે, આદિવાસી સમાજની જે પ્રતિભા છે, આદિવાસી સમાજની જે સંસ્કૃતિ અને પરંપરા છે, એને ઉજવવાના માટે પૂરું આદિવાસી મહાસંમેલન રાખ્યું છે. સાથે સાથે જે આદિવાસી સમાજમાં આપણા આદિવાસીઓ માટે સારું કામ કરે છે, એવા આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ હરિનભાઈ પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાનું અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને એમાં પણ ખાસ કરીને વિશેષ ઉપસ્થિતિ આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ અને સાથે સાથે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ થવાની છે. એમાં પૂરા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જમા થવાના છે. આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરા આપણે બધા સાથે મળીને ઉજવવાના છીએ. સાથે સાથે આદિવાસી સમાજના જ એવા ડીજે રોકસ્ટાર બેન્ડ પણ આવે છે, જે આદિવાસી ગીતની સાથે આપણી સંસ્કૃતિ મનાવીને ધામધૂમથી આપણે નવ વાગ્યે ઉજવણી કરીને ગાંધી મેદાન, હનુમાનબારી સર્કલથી ગાંધી મેદાન પહોંચશું અને ત્યાં પછી આદિવાસી સંમેલનમાં આપણી જે પણ આદિવાસી પ્રતિભા છે એ નિહાળવાના છીએ અને પછી આદિવાસી સ્ટાઈલનું પૂરું ભોજન, એમ કરીને પૂરું આદિવાસી સમાજનું જ્યારે મહાસંમેલન રાખ્યું છે ત્યારે તમને બધાને ભાવભીનું આમંત્રણ છે. 14મી ફેબ્રુઆરીએ સવારે નવ કલાકે વાંસદાના હનુમાનબારી સર્કલમાં મોટી સંખ્યામાં આવો અને આ આદિવાસીની જે સંસ્કૃતિ પરંપરા છે આપણે બધા સાથે મળીને ઉજવીએ
ગાંધીનગરના કુડાસણમાં ટ્રાફિકથી ધમધમતા રક્ષા શક્તિ સર્કલ પાસેના રાધે ઇન્ફિનિટી કોમ્પ્લેક્ષ નજીક નશાબંધી અને આબકારી કચેરીના ક્લાર્કની કારનો કાચ તોડી તસ્કરો પાંચ સોનાની વીંટી અને મંગળસૂત્ર સહિત 5 લાખની મત્તા ચોરીને ફરાર થઈ જતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડામાં સાળીના લગ્ન પતાવી પરત ફરી રહેલા પરિવારને કુડાસણમાં જસ્સી દે પરાઠેમાં પરાઠા ખાવા ભારે પડી ગયા છે. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા અને ગાંધીનગર સેક્ટર-10માં નોકરી કરતા વિનયભાઈ સુતરીયા 8 ફેબ્રુઆરીના રોજ ચાંદખેડા ખાતે સાળીના લગ્નમાં ગયા હતા. જસ્સી દે પરાઠે હોટલમાં જમવા માટે ગયા હતાબાદમાં લગ્ન પૂર્ણ કરી સાંજે સાતેક વાગે તેઓ પત્ની અને બાળકો સાથે ગાંધીનગર આવ્યા હતા. જ્યાં કુડાસણના રાધે ઇન્ફિનિટી કોમ્પ્લેક્ષ સામે ખુલ્લી જગ્યામાં પોતાની ફ્રોંક્સ ગાડી પાર્ક કરી તેઓ જસ્સી દે પરાઠે હોટલમાં જમવા માટે ગયા હતા. જોકે જમવામાં વેઇટિંગ હોવાથી પરિવાર થોડીવાર મોલમાં ફરવા ગયો હતો. કાચ તૂટેલો જોયો ને શંકા પડીત્યારબાદ હોટલમાંથી ફોન આવતા તેઓ જમવા બેઠા હતા. પરંતુ જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ગાડીનો પાછળનો કાચ તૂટેલો જોઈને ચોંકી ઉઠ્યા હતા. જે અંગે તપાસ કરતા જણાયું હતું કે, કારની પાછળની સીટમાં મુકેલું લેડીઝ પર્સ ગાયબ હતું. આ પર્સમાં 1 હજાર રોકડા તેમજ આશરે 35 ગ્રામ સોનાના દાગીના હતા. બેગમાં 5.14 લાખની વીંટીઓ અને મંગળસૂત્ર હતુંજેમાં પાંચ લાખ 14 હજારની કિંમતની 5 સોનાની વીંટીઓ અને એક સોનાનું મંગળસૂત્ર હતું. જેના પગલે વિનયભાઈએ આસપાસમાં તપાસ કરી હતી.પરંતુ બેગના કોઈ સગડ મળ્યા નહોતા. આખરે આ અંગે તેમણે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની ICDS શાખા દ્વારા April-2025 થી September-2025 દરમિયાન બાળકો, કિશોરીઓ અને માતાઓના સ્વાસ્થ્ય માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. 'પોષણ ટ્રેકર' એપ્લિકેશનના માધ્યમથી જિલ્લાના કુલ 72,516 નોંધાયેલા લાભાર્થીઓ સુધી પોષણક્ષમ આહાર પહોંચાડવામાં આવ્યો છે. જેમાં 60,559 લાભાર્થીઓને ઓનલાઈન અને 11,957 લાભાર્થીઓને ઓફલાઈન માધ્યમથી રેશન વિતરણ કરી 100% સફળતા હાંસલ કરવામાં આવી છે. વિવિધ વયજૂથના લાભાર્થીઓને મળ્યો સીધો લાભ છ માસના આ સમયગાળા દરમિયાન જિલ્લાના 6 માસથી 3 વર્ષના 34,000 બાળકો પૈકી 25,000 બાળકોને પૌષ્ટિક આહારનો લાભ મળ્યો છે. આ ઉપરાંત, 4,389 સગર્ભા મહિલાઓ અને 3,586 ધાત્રી માતાઓને પણ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વિશેષરૂપે, જિલ્લાની તમામ 27,675 નોંધાયેલી કિશોરીઓને પોષણ સહાય પૂરી પાડીને મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્ય પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે. વડોદરા જિલ્લા તંત્રના આ સુચારૂ આયોજનને કારણે કુપોષણ સામેની લડત વધુ મજબૂત બની છે.
ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક સ્તરને વધુ વ્યવહારુ અને ગુણવત્તાસભર બનાવવાના હેતુથી સંસ્થાના વિવિધ વિભાગોમાં ‘પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ’ની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાસભા અને કાર્યવાહક પરિષદની તાજેતરની બેઠકોમાં આ મહત્વના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી અપાઈ છે. University Grants Commission (UGC) અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અમલીકરણના ભાગરૂપે લેવાયેલ આ નિર્ણય શિક્ષણને ઉદ્યોગ અને સમાજના વાસ્તવિક અનુભવો સાથે જોડશે. આ પહેલથી વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ જે-તે ક્ષેત્રના અનુભવી નિષ્ણાંતોનું સીધું માર્ગદર્શન ઉપલબ્ધ થશે. 10 વિભાગોમાં 15 પ્રતિષ્ઠિત નિષ્ણાતોની વરણી ગૂજરાત વિદ્યાપીઠના કુલ 10 વિભાગોમાં વિવિધ ક્ષેત્રના 15 નિષ્ણાંતોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં ડૉ. શમશેર સિંહ, ડૉ. ભાવિની શાહ, ભરત મોદી, પ્રતુલ શ્રોફ, ડૉ. જતિન સોની, ડૉ. અજય ઉમટ, દર્શના વ્યાસ, સંજય પ્રસાદ, ડૉ. જયેન મહેતા, રામ મોરી, પદ્મશ્રી તુષાર શુક્લા, મનન ચોકસી, ડૉ. સ્વરૂપ રાવલ, ડૉ. કલ્પેશ પરીખ અને ડૉ. ભગવાનદાસ પટેલ જેવા ખ્યાતનામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ નિમણૂકો દ્વારા સંસ્થાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં સિદ્ધાંતો અને પ્રેક્ટિકલ અનુભવોનો સંગમ થાય. ગૂજરાત વિદ્યાપીઠ પરિવાર દ્વારા આ તમામ નિષ્ણાંતોનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમના બહોળા અનુભવનો લાભ સંસ્થાના ઉન્નત ભવિષ્ય માટે પાયારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં આજે દેશભરના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) સહિતના સંગઠનો આ હડતાળમાં જોડાતા સુરતના બેંકિંગ વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ હડતાળને કારણે સુરતમાં 5,000 કરોડથી વધુના બેંકિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે. શા માટે થઈ રહી છે હડતાળ?આ આંદોલનનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલા 29 જૂના મજૂર કાયદાઓ અને તેની જગ્યાએ લવાયેલા 4 નવા લેબર કોડ છે. ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે આ નવા કાયદાઓ કામદાર વિરોધી છે અને તેનાથી કર્મચારીઓની નોકરીની સુરક્ષા જોખમાશે. યુનિયનના આગેવાનોનું કહેવું છે કે નવા કાયદા મુજબ મહિલાઓએ નાઈટ શિફ્ટ કરવી પડશે અને મિનિમમ વેજિસ (લઘુત્તમ વેતન)ના નિયમોમાં પણ કર્મચારીઓનું શોષણ થવાની ભીતિ છે. મજૂર સંગઠનોની માગ છે કે, નવા ચાર લેબર કોડ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને જૂના કલ્યાણકારી કાયદાઓ ફરી લાગુ કરવામાં આવે. સુરતમાં વિરોધ પ્રદર્શનસુરતમાં આજે સવારથી જ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાળમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં, પરંતુ LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસ.ટી., આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા છે. સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક યુનિયનોએ પણ આ લડતને ટેકો જાહેર કર્યો છે. કઈ સેવાઓને થઈ અસર?હડતાળને કારણે રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેશ ડિપોઝિટ, વિડ્રોઅલ અને ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જોકે, ખાનગી બેંકો અને ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન (UPI/NEFT) કાર્યરત હોવાથી સામાન્ય નાગરિકોને આંશિક રાહત મળી છે. પરંતુ, સરકારી કચેરીઓ અને જાહેર ક્ષેત્રના એકમોમાં કામકાજમાં મોટી રુકાવટ જોવા મળી રહી છે. ટ્રેડ યુનિયનના અગ્રણીઓએ ચીમકી આપી છે કે, જો સરકાર તેમની માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ નહીં દાખવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. શું મહિલાઓની સ્વતંત્રતાનું ધ્યાન રાખવામાં નહીં આવે?: જીગીશા સુરતીજીગીશા સુરતીએ જણાવ્યું હતું કે,એક મહિલા કર્મચારી તરીકે, ચાર નવા લેબર કોડમાં જે સૌથી મોટી સમસ્યાનો આપણે સામનો કરવો પડશે તે છે નાઈટ શિફ્ટ. તમે આપણા દેશમાં આવા ઘણા કિસ્સાઓ જોયા હશે, જ્યાં મહિલાઓને બળાત્કાર અથવા અન્ય ઉત્પીડનનો સામનો કરવો પડે છે. ક્યારેક સહ-કર્મચારી દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, આવી મહિલાઓની ઘણી સમસ્યાઓ હોય છે. એક સ્ત્રીનું પારિવારિક જીવન પણ તેનાથી ખોરવાય છે. તો શું હવે મહિલાઓ પહેલાની જેમ ઘરે બેસી રહેશે? શું તેઓ કામ માટે બહાર નહીં જઈ શકે? શું મહિલાઓની સ્વતંત્રતાનું ધ્યાન રાખવામાં નહીં આવે? આ બધી એવી સમસ્યાઓ છે જે મુખ્યત્વે મહિલાઓને વધુ અસર કરી રહી છે. તેથી, જો આ ચાર લેબર કોડમાં સુધારો કરવામાં આવે, તો મહિલાઓને તેનો સૌથી વધુ ફાયદો થશે. યુનિયન પણ બનાવી શકીશું નહિઃ જિજ્ઞાસા દેસાઈજિજ્ઞાસા દેસાઈએ જણાવ્યું હતું કે, અમે પહેલા 100ની સ્ટ્રેન્થ ઉપર યુનિયન બનાવી શકતા હતા, હવે તે વધારીને 300 કરી દેવામાં આવી છે, તેના કારણે ઘણી જગ્યાએ જ્યાં ઓછા લોકો કામ કરે છે, ત્યાં યુનિયન નહીં બની શકે. જો યુનિયન નહીં હોય, તો તેમની માંગણીઓ અને બીજી ઘણી બાબતોમાં મુશ્કેલી પડશે અને સાચી હકીકત બહાર નહીં આવે. કર્મચારીઓને માત્ર 5,500 રૂપિયા મહિને મળશેઃ પિયુષ દેસાઈ પિયુષ દેસાઈ (બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ યુનિયન સુરતના પ્રેસિડેન્ટ)એ જણાવ્યું હતું કે, આજે આપણા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનમાં આજે લગભગ 12 નેશનલાઈઝ બેંકો અને 4 પ્રાઈવેટ બેંકો હડતાળ પર છે. અમારી માગ એક જ છે કે, જૂના લેબર કોડ છે એ બહાલ કરો અને નવા જે 4 લેબર કોડ છે એ વિડ્રો કરો. કારણ કે એના થકી લેડીઝોને નાઈટ શિફ્ટ કરવી પડશે. બીજું, અમે મિનિમમ વેજીસ એક્ટમાં 26,000 માંગ્યા છે. આ થકી કોમરેડને કે કર્મચારીઓને માત્ર 5,500 રૂપિયા મહિને મળશે.
ધારીમાં આઈસ્ક્રીમ વાહનમાં આગ:પાલિકાના જેટિંગ મશીનથી આગ પર કાબુ મેળવાયો
અમરેલી જિલ્લાના ધારી શહેરમાં અજંટા સોસાયટી નજીક પાર્ક કરેલી છોટા હાથી ગાડીમાં ચાલતા રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું સ્થળ સીએનજી પંપ નજીક હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. સીએનજી પંપ નજીક હોવાને કારણે મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી હતી. ધારી નગરપાલિકા પાસે ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ ન હોવા છતાં, પાલિકાના જેટિંગ મશીનની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમયસર કરાયેલા પ્રયાસોને કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં લઈ લેવાઈ હતી. આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
હિંમતનગર પાલિકાએ 8 રહીશોને નોટિસ આપી:રોડ પર પાણી ઢોળી બગાડ કરતા કાર્યવાહી કરાઈ
હિંમતનગર નગરપાલિકાએ ગાયત્રી મંદિર રોડ પર આવેલી અંબિકા સોસાયટીમાં રોડ પર બેફામ પાણી ઢોળી બગાડ કરવા બદલ આઠથી વધુ રહીશોને નોટિસ ફટકારી છે. પાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ અંબિકા સોસાયટી પહોંચ્યા હતા. ત્યાં રોડ પર મોટા પ્રમાણમાં પાણી ઢોળાયેલું જોવા મળ્યું હતું, જેના કારણે પાણીનો બગાડ થતો હતો. પાલિકાએ રહીશોને કડક સૂચના આપી હતી કે ભવિષ્યમાં રોડ પર પાણી ન ઢોળવામાં આવે. જો આ સૂચનાનો ભંગ થશે, તો નળ કનેક્શન કાપી નાખવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. આ અંગે હિંમતનગર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દીપક જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિકો દ્વારા રોડ પર પાણી ઢોળવામાં આવતું હોવાથી સ્થળ પર પહોંચી આઠથી વધુ રહીશોને પાણી ન ઢોળવા માટે નોટિસ આપવામાં આવી છે.
ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશ:શક્તિનાથથી શ્રવણ ચોકડી માર્ગ 15 મીટર સુધી દબાણમુક્ત કરાયો
ભરૂચ શહેરમાં વધતા ટ્રાફિક અને માર્ગો પરના અવરોધોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા મુખ્ય માર્ગને દબાણમુક્ત કરવાના હેતુથી બંને બાજુના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે કડક કાર્યવાહી કરાઈ હતી. માર્ગની સીમાથી આશરે 15 મીટર સુધીના લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા અને અન્ય પાકા-કાચા બાંધકામો જેસીબી મશીનો દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી આજે સવારે એસ.ડી.એમ. અને મામલતદારના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી. દબાણ હટાવવાની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલા શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરના કંપાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરાઈ. તંત્રની ટીમે પૂર્વ સૂચના મુજબ માપણી કરીને ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો હતો. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી પૂર્ણ કરી. આ કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' હેઠળ માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. શહેરના છાંયા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓનું ડામરીકરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે.મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ, શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા બિસ્માર રસ્તાઓવાળા વિસ્તારોમાં તાત્કાલિક રીપેરીંગ અને ડામરીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ માર્ગ સુધારણા કામગીરી પૂર્ણ થવાથી રસ્તાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. તેના પરિણામે વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે, તેમજ સ્થાનિક રહીશોને રોજિંદા અવરજવરમાં મોટી સુવિધા મળશે. આનાથી શહેરના માર્ગોની ગુણવત્તા અને સૌંદર્યમાં પણ વધારો થશે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ વ્યવસ્થિત, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે ભવિષ્યમાં પણ આવી વિકાસાત્મક કામગીરી નિરંતર ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે એક તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સેનિટેશન શાખા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં કચરાના સંગ્રહ અને નિકાલ પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ વર્કશોપમાં કર્મયોગી પોર્ટલ મારફતે પ્રેઝન્ટેશન રજૂ કરીને કર્મચારીઓને કચરાનું વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત સંચાલન કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આધુનિક પદ્ધતિઓ અને સ્વચ્છતા જાળવણીની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નં. 1 થી 13 સુધીના સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો, વોર્ડના સુપરવાઇઝરો તેમજ વોર્ડમાં ફરજ બજાવતા સેનિટરી ઇન્સ્પેક્ટર એપ્રેન્ટીસ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કર્મચારીઓને કચરાનું ડોર-ટુ-ડોર કલેક્શન, કચરાનું વર્ગીકરણ, પ્રોસેસિંગ તેમજ અંતિમ નિકાલ (ડિસ્પોઝલ) કેવી રીતે કરવો તેની પ્રાયોગિક અને સિદ્ધાંત આધારિત માહિતી પૂરી પાડવામાં આવી હતી. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં તેમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના અશ્વિનભાઈ વઢિયાએ જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય હેતુ પોરબંદર શહેરમાં કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક, સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અમલમાં મૂકવાનો છે, જેથી શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણમાં સુધારો લાવી શકાય.
પાટડી સેવા સદન ખાતે ભવૈયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા મામલતદાર હરેશ અમીનને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ઓબીસી અનામતના વર્ગીકરણ (OBC Sub-categorization)ની તાત્કાલિક અમલવારીની માંગણી સાથે આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે. જોકે, આમાંથી માત્ર 20 જેટલા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ અનામતનો મોટાભાગનો લાભ મેળવી રહ્યા છે. આ 20 સમુદાયો ઓબીસીની કુલ સંખ્યાના 20 % પણ નથી, છતાં 80 % અનામત બેઠકોનો લાભ ઉઠાવે છે. બીજી તરફ, નાયક, ભવાયા, તરગાળા ભવૈયા, ઠાકોર, કોળી, દેવીપૂજક, રાવળ, ગોસ્વામી, વંજારા, ધોબી, મોચી જેવા 100થી વધુ ઓબીસી સમુદાયો વિકાસથી વંચિત રહી કોઈ સકારાત્મક લાભ મેળવી શકતા નથી. આ અસમાનતા દૂર કરવા માટે ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ (OBC Sub-categorization) તાત્કાલિક અમલમાં મૂકવું અનિવાર્ય છે.સુપ્રીમ કોર્ટના 1992ના ઈન્દ્રા સાહનીના ઐતિહાસિક ચુકાદા મુજબ પણ ઓબીસી અનામત વર્ગીકરણ સંપૂર્ણપણે બંધારણીય છે. ભારતના 12 રાજ્યોમાં, જેમાં ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ અને કેરળનો સમાવેશ થાય છે, ત્યાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે. બિહારમાં તો છેલ્લા 50 વર્ષથી આ પ્રણાલી સફળતાપૂર્વક કાર્યરત છે. ગુજરાત રાજ્ય આ નિર્ણય લેવા માટે સંપૂર્ણ સત્તા ધરાવે છે અને આ માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. ઉપરાંત, નવી જાતિ ગણતરી (Caste Census) કરવાની પણ આવશ્યકતા નથી. માત્ર એક સર્વે અને એક સમિતિની રચના દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ છ મહિનાથી ઓછા સમયમાં અમલમાં મૂકી શકાય છે. જો ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ 90 % ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર રહેશે. આવા સંજોગોમાં સમાવિષ્ટ વિકાસ (Inclusive Development) કેવી રીતે શક્ય બનશે તે પ્રશ્ન ઊભો થાય છે. સમાજના નબળા વર્ગો માટે સરકારે જે હક્કો અને અનામતની વ્યવસ્થા કરી છે, તે તમામ સમુદાયોને સમાન રીતે મળી રહે તે માટે અનામત વર્ગીકરણ અનિવાર્ય છે.આથી, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. ઠાકોર સમાજ અને કોળી સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો,સામાજિક સંસ્થાઓ અને હજારો લોકો દ્વારા ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્રો લખવામાં આવ્યા છે. આથી,ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકવામાં આવે તેવી માંગણી મંડળ દ્વારા કરવામાં આવી છે.
મોરબીનો સાહિલ માજોઠી, જે રશિયામાં અભ્યાસ કરવા ગયો હતો, તે હાલમાં યુક્રેનના કિવ ખાતેના ડિટેન્શન સેન્ટરમાં છે. તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે થયેલી યુદ્ધ કેદીઓની અદલાબદલીમાં યુક્રેન દ્વારા સાહિલનું નામ યાદીમાં આપવામાં આવ્યું નથી, જેના કારણે તેના હેમખેમ પરત ફરવા અંગે ચિંતા વધી છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી વર્ષ 2024માં રશિયા અભ્યાસ અર્થે ગયો હતો. ત્યાં તે પાર્ટ-ટાઇમ કુરિયર સર્વિસનું કામ કરતો હતો. એક પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે પાર્સલ ક્યાંથી આવ્યું તેની માહિતી રશિયન પોલીસને આપી હોવા છતાં તેની સામે કેસ કરવામાં આવ્યો હતો, જેમાં તેને 7 વર્ષની સજા થઈ હતી અને તે રશિયાની જેલમાં હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, સાહિલને યુદ્ધ લડવા માટે વિવિધ પ્રલોભનો આપવામાં આવ્યા હતા. તેને ટેકનિકલ કામ કરવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલવામાં આવ્યો હતો. જોકે, સાહિલ માજોઠીએ યુક્રેન બોર્ડર પર યુદ્ધ લડવાને બદલે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી તેને યુક્રેનના કિવ ખાતેના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં, સાહિલના દિલ્હી હાઈકોર્ટના વકીલ દીપા જોસેફે કિવમાં જ્યાં સાહિલને રાખવામાં આવ્યો છે તે ડિટેન્શન સેન્ટરની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ તેનો એક ઇન્ટરવ્યૂ પણ સામે આવ્યો હતો. હાલમાં સાહિલની માતા હસીનાબેન માજોઠી દ્વારા સાહિલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેની માતા, નાની, મામા સહિતના પરિવારજનોની ખબર પૂછે છે અને અંજુ અભ્યાસ કરવા જાય છે કે કેમ તે વિશે પણ પૂછપરછ કરે છે. હસીનાબેને જણાવ્યું કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે 157 યુદ્ધ કેદીની અદલાબદલી થઈ હતી, પરંતુ યુક્રેન તરફથી યુદ્ધ કેદીઓની યાદીમાં સાહિલનું નામ શામેલ કરવામાં આવ્યું ન હતું, જેથી તે હજુ પણ કિવના ડિટેન્શન સેન્ટરમાં જ છે. ઉલેખનીય છે કે, કોઈપણ દેશ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હોય ત્યારે યુદ્ધ કેદીઓને પકડવામાં આવ્યા હોય તેને એક્સચેન્જ કરવામાં આવતા હોય છે. એક્સચેન્જ લિસ્ટમાં સાહિલનું નામ રશિયાને આપવામાં આવે તો સાહિલની મુશ્કેલી વધી શકે છે. ત્યારે સવાલએ ઊભો થાય છે કે, યુક્રેન સરકાર સાહિલને પાછો ભારતને સોંપવા માટે તૈયાર છે તો ભારત સરકાર દ્વારા કેમ તેને ભારત લાવવા માટેના પ્રયાસો કેમ કરવામાં આવતા નથી અને યુક્રેન પાસેથી સાહિલનો કબ્જો કેમ લેવામાં આવતો નથી. વર્ષ 2025ના ઓક્ટોમ્બર મહિનાથી સાહિલ યુક્રેનના કિવ ખાતે જે ડિટેન્શન સેન્ટરમાં છે. જો ભારત સરકાર દ્વારા આવી ઢીલી નીતિ રાખવામા આવશે તો સાહિલ કયારે પણ પાછો મોરબી નહીં આવે તેવું તેની માતા હસીનાબેન માજોઠી જણાવ્યું છે.
NMC ટેક્સ બાકીદારો સામે કડક કાર્યવાહી કરશે:₹15 કરોડની વસૂલાત માટે મિલકતો સીલ કરાશે, કોંગ્રેસનો વિરોધ
નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતની કામગીરી તેજ કરવામાં આવી છે. પાલિકા કમિશનર દેવ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે ટેક્સ બાકીદારો સામે કોઈ રહેમરાહ રાખવામાં આવશે નહીં. આ કાર્યવાહી સામે વિપક્ષ દ્વારા પક્ષપાતનો આરોપ લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું કે, લાંબા સમયથી વેરો બાકી હોય તેવા વિસ્તારોમાં સીલિંગની કાર્યવાહી ઝડપી બનાવાઈ છે. પાલિકાનું મુખ્ય લક્ષ્ય અંદાજે ₹14 કરોડથી વધુના જૂના બાકી વેરા (એરિયર્સ) વસૂલવાનું છે. તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પારદર્શિતા માટે ડિફોલ્ટરોની યાદી મીડિયા દ્વારા જાહેર કરાશે. 31 માર્ચ પહેલા વેરો નહીં ભરનારાઓના પાણી, વીજળી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જરૂર પડ્યે વ્યાવસાયિક એકમોની બી.યુ. (Building Use) પરમિશન પણ રદ કરાશે. વર્ષોથી બાકી રહેલા રહેણાંક અને વ્યાવસાયિક એકમોનો કુલ બાકી વેરો ₹15 કરોડને વટાવી ગયો છે. આથી, પાલિકાએ વોર્ડ-વાર યાદી તૈયાર કરીને કડકાઈ શરૂ કરી છે. પાલિકાની આ કાર્યવાહી સામે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે પાલિકા 'એકને ગોળ અને બીજાને ખોળ' આપવાની નીતિ અપનાવી રહી છે. કોંગ્રેસનો દાવો છે કે શાસક પક્ષના સગા-વહાલાઓ અને મોટા ઉદ્યોગપતિઓના લાખો રૂપિયાના વેરા બાકી હોવા છતાં તેમની સામે કાર્યવાહી થતી નથી. કોંગ્રેસે જણાવ્યું કે, માત્ર ₹1,000 થી ₹2,000 બાકી હોય તેવા સામાન્ય નાગરિકોને કનેક્શન કાપીને હેરાન કરવામાં આવી રહ્યા છે. મોંઘવારીના આ સમયમાં લોકોને રાહત આપવા અને મોટા બાકીદારો માટે હપ્તા પદ્ધતિ (Installments) ગોઠવવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. નવસારી મહાનગરપાલિકાની આ કડક વસૂલાત ઝુંબેશને કારણે શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. 31 માર્ચ સુધીમાં પાલિકા કેટલા કરોડના લક્ષ્યાંકને આંબી શકે છે તે જોવું રહ્યું.
વેલેન્ટાઇન વીકનો છઠ્ઠો દિવસ એટલે હગ ડે. આ દિવસે પ્રિયજનને મનભરીને હગ કરી યાદગાર બનાવવાનો છે., કારણ કે પ્રેમ શબ્દોથી નહીં પણ જાદુ કી જપ્પી જેવી હુંફથી વધુ વાઇબ્રન્ટ રહે છે. દિવ્ય ભાસ્કરે આજે હગ ડે પર કોલેજ કેમ્પસના યુવાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં એક છોકરાએ તો ગર્લફ્રેન્ડ બનાવવાની ઇચ્છા છતાં મળતું ન હોવાનું બિનધાસ્ત એકરાર કર્યો હતો. ગર્લ્સ અને બોય્ઝે કેવી રીતે મનાવ્યો હગ ડે એ જાણવા તસવીર પર ક્લિક કરો.
જામનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા છતાં મહેનતાણું ન મળવા અને અન્ય 21 માંગણીઓ સંદર્ભે આ રજૂઆત કરવામાં આવી હતી. 400થી વધુ બહેનો આ આવેદનપત્ર આપવા માટે એકત્ર થઈ હતી. આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ એક દિવસ માટે કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની મુખ્ય માંગણીઓમાં હાઈકોર્ટના આદેશ મુજબ મહેનતાણું ચૂકવવું અને પગાર વધારો લાગુ કરવો તે હતી. બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હેલ્પર બહેનો માટે ₹20,400 અને વર્કર બહેનો માટે ₹24,800 નો પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તે હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી. તેઓ વર્તમાન પગાર કરતાં વધુ કામગીરી કરી રહ્યા હોવા છતાં તેમને ન્યાય મળ્યો નથી. આંગણવાડી બહેનોએ સ્માર્ટફોન દ્વારા કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં તેમને સ્માર્ટફોન પૂરા પાડવામાં ન આવતા હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકાર સમક્ષ તેમની માંગણીઓ સાંભળવા અને પગાર વધારાનો અમલ કરવા વિનંતી કરી હતી.
આજે વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પણ જોડાયા છે, જેના કારણે દેશભરમાં આર્થિક વ્યવહારો પર અસર પડી છે. જામનગરમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ રહ્યું હતું, જેના પરિણામે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાઈ ગયા હતા. આ હડતાળનો મુખ્ય હેતુ કથિત મજૂર વિરોધી કાયદાઓનો વિરોધ કરવાનો છે. નવા નિયમો મુજબ, અગાઉ જે એકમમાં 100 મજૂરો હોય તેમને છટણી માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી, પરંતુ હવે 300 મજૂરો ધરાવતા એકમોને જ આ મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત, સ્ત્રીઓને રાત્રિ પાળીમાં નોકરી, 12 કલાકની નોકરી અને હડતાળ પાડવા માટે 60 દિવસ પહેલા મંજૂરી લેવા જેવા નિયમોનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં આ દેશવ્યાપી હડતાળમાં રાષ્ટ્રીયકૃત બેંકોના સેંકડો કર્મચારીઓ જોડાયા હતા. ગુજરાત બેંક વર્ક્સ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલિન ધોળકિયાએ આ માહિતી આપી હતી. બેંક કર્મચારીઓની હડતાળને કારણે સામાન્ય જનજીવન અને વેપાર-ધંધા પર વ્યાપક અસર જોવા મળી હતી.
ટંકારા, મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે આર્ય સમાજ દ્વારા બે દિવસીય 'શતાબ્દી મહોત્સવ'નો આજથી પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિવસે સવારે યજ્ઞ, ધ્વજવંદન અને ટંકારાના મુખ્ય માર્ગો પરથી વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આર્ય સમાજના અનુયાયીઓ અને બાળકો જોડાયા હતા. શોભાયાત્રામાં વિવિધ ટેબ્લો, અગ્નિહોત્ર રથ અને વીરાંગના દળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મહોત્સવમાં સ્વામી શાંતાનંદજી, મુનિ સત્યજીતજી અને આચાર્ય આર્ય નરેશજી જેવા પ્રખર વિદ્વાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મદિવસની ઉજવણી, સત્યાર્થ પ્રકાશનું મહત્વ અને વર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓ પર વ્યાખ્યાનો યોજાશે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. શ્રોતાઓ માટે 'આત્મનિરીક્ષણ કસોટી' જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું છે. મહોત્સવના અંતિમ દિવસે આર્ય સમાજ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો અને પૂર્વ સભ્યોનું સન્માન કરવામાં આવશે. ટંકારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગુજરાત આર્ય પ્રતિનિધિ સભાના હોદ્દેદારોની નિશ્રામાં યોજાનારા આ કાર્યક્રમમાં મહિલા સંમેલન અને આર્ય યુવા શક્તિના ઉત્થાન અંગે વિશેષ ચર્ચાઓ થશે. શતાબ્દી મહોત્સવનું સમાપન મુનિ સત્યજીતજીના આશીર્વાદ અને શાંતિપાઠ સાથે થશે.
શહેરમાં અને જિલ્લામાં વાહનોમાં લગાડવામાં આવતી અનધિકૃત LED લાઈટોને કારણે વધતા અકસ્માતોને રોકવા માટે ભાવનગર આર.ટી.ઓ. (RTO) વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા દોઢ મહિનામાં 450થી વધુ વાહનચાલકોને રૂપિયા 5 લાખ જેટલો દંડ ફટકારી વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, આગામી સમયમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે. જુદી જુદી કલમો આધારે દંડની જોગવાઈ ભાવનગર RTO ખાતે ફરજ બજાવતા સહાયક મોટર વાહન નિરીક્ષક એમ.ટી. મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2026 થી આજ દિન સુધી અંદાજિત 477 જેટલા કેસ કરવામાં આવ્યા છે, જેની સામે રૂપિયા 5 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની જે મોડિફાઈડ LED લાઈટો લગાવવામાં આવે છે, તે કાયદા વિરુદ્ધ વાહનના મૂળ ફિચર્સમાં ફેરફાર કરવા બદલ કલમ 182 હેઠળ રૂ.5,000નો દંડ, કલમ 190 મુજબ રોડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ રૂ.1,000નો દંડ, આમ, નિયમનો ભંગ કરનાર વાહનચાલકે કુલ રૂ.6,000 થી વધુનો દંડ ભોગવવો પડી શકે છે. તંત્રની જનતાને અપીલ એમ.ટી. મકવાણાએ નાગરિકોને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે, બહારથી ટેસ્ટિંગ ઓથોરિટીની માન્યતા વગરની LED લાઈટો લગાવવાનું ટાળો,આ લાઈટોની તીવ્રતાને કારણે સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે, જેનાથી ગંભીર અકસ્માત થવાનો ભય રહે છે આ માત્ર નિયમભંગ નથી, પરંતુ જાન-માલના નુકસાન અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.
ભારતીય શિક્ષણ વ્યવસ્થા: ખીંટીએ ટીંગાડેલા પતંગિયા:આજનું બાળક જ નક્કી કરશે કે આવનારી દુનિયા કેવી હશે!
ભારતમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો એ ચર્ચા વારંવાર થતી જોવા મળે છે કે માતૃભાષા ગુજરાતીનું સ્તર લથડી ગયું છે. આજની પેઢીના બાળકો માતૃભાષામાં સારી રીતે વાત નથી કરી શકતા. ગુજરાતી માધ્યમની શાળાઓ લગભગ બધે બંધ થઇ ગઇ છે વગેરે. પણ કોઇ તેના મૂળમાં જઇને આવું કેમ થયું અને થાય છે એની ચર્ચા નથી કરતું કે નથી એના કારણો શોધવાના પ્રયત્નો કરતું. એ વાત પર નથી વિચારતું કે માતૃભાષા બાળકોને રસ પડે એ રીતે ના શીખવવી એ પણ એક કારણ હોઇ શકે? અને એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી કે જ્યાં માતૃભાષાની અવગણના થાય. આ એક ઉદાહરણ ગુજરાતનું અને ગુજરાતી ભાષાના અસ્તિત્વ પર સવાલ ઊભો કરે છે પણ વચ્ચે વચ્ચે ભણતરના દબાણને કારણે આટલા શાળામાં ભણતા બાળકોએ આપઘાત કર્યો કે ભણવાને કારણે મા-બાપે ઠપકો આપ્યો એટલે બાળક ઘર છોડીને ભાગી ગયું વગેરે સમાચાર આવતા જ રહે છે. બાળકોનું શિક્ષણ ભાર બન્યુંનાલંદા, તક્ષશિલા જેવી મહા વિદ્યાપીઠની માતૃભૂમિ એવા ભારતમાં આજે એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી થઇ છે કે બાળકો અને મા-બાપને શિક્ષણ લેવું અને અપવાવવું અનેક રીતે ભારરૂપ લાગે છે. આમ તો કોઇપણ દેશની શિક્ષણ વ્યવસ્થા આદર્શ કદાચ ના હોઇ શકે પણ આજે મારે ભાર વગરના ભણતરની વ્યવસ્થા ધરાવતા અને જેની શિક્ષણ વ્યવસ્થા દુનિયામાં શ્રેષ્ઠ ગણાય છે એવા સ્કેનેદેવીયા દેશ ફિનલેન્ડની શિક્ષણ પ્રણાલીની વાત કરવી છે. ફિનલેન્ડની શિક્ષણ પ્રણાવી દુનિયામાં જાણીતીફિનલેન્ડની શિક્ષણ પ્રણાલી વિશ્વભરમાં તેની ગુણવત્તા, સમાનતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી છે. આ દેશે શિક્ષણને માત્ર પરીક્ષા અને ગુણાંક સુધી મર્યાદિત ન રાખીને, જીવન કૌશલ્ય, સર્જનાત્મકતા અને વિચારશક્તિના વિકાસ પર વિશેષ ભાર મૂક્યો છે. ફિનલેન્ડમાં માનવામાં આવે છે કે સારો નાગરિક બનાવવો એ શિક્ષણનું મુખ્ય લક્ષ્ય છે. શિક્ષણ સંપૂર્ણ મફતફિનલેન્ડમાં શિક્ષણ સંપૂર્ણપણે મફત છે. પ્રાથમિક શિક્ષણથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી વિદ્યાર્થીઓને ફી ચૂકવવી પડતી નથી એટલું જ નહીં, વિદ્યાર્થીઓને મફત ભોજન, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ પણ આપવામાં આવે છે. આથી દરેક બાળકને તેની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, સમાન તક મળે છે. સમાનતા ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થાનો આધારસ્તંભ છે. અહીં બાળકો શાળામાં સાત વર્ષની ઉંમરથી પ્રવેશ કરે છે. શરૂઆતના વર્ષોમાં અભ્યાસ કરતા વધુ રમતો, પ્રવૃત્તિઓ અને સામાજિક કુશળતા પર ધ્યાન આપવામાં આવે છે. પ્રાથમિક સ્તરે હોમવર્ક બહુ ઓછું હોય છે અને લાંબા શાળાકીય કલાકો પણ નથી. તેનો હેતુ એ છે કે બાળકો પર દબાણ ન પડે અને તેઓ શીખવાની પ્રક્રિયાને આનંદથી સ્વીકારે. સરકાર હસ્તક્ષેપ નથી હોતોફિનલેન્ડમાં શિક્ષકોને ખૂબ માન અને મહત્વ આપવામાં આવે છે. શિક્ષક બનવા માટે ઉચ્ચ લાયકાત જરૂરી છે અને શિક્ષણ ક્ષેત્રમાં માત્ર શ્રેષ્ઠ ઉમેદવારોને જ પસંદ કરવામાં આવે છે. શિક્ષકોને પોતાની કામ કરવાની પદ્ધતિ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. સરકાર કે સંસ્થાઓ દ્વારા વારંવાર તપાસ અથવા દબાણ નથી હોતું. આ વિશ્વાસના કારણે શિક્ષકો વધુ જવાબદારી અને સમર્પણ સાથે કાર્ય કરે છે. અહીં પરીક્ષાની સંખ્યા બહુ ઓછી છે. રાષ્ટ્રીય સ્તરે કોઇ કઠોર સ્પર્ધાત્મક પરીક્ષા નથી. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સતત અવલોકન, પ્રોજેક્ટ વર્ક અને શિક્ષકના અનુભવના આધારે થાય છે. આથી વિદ્યાર્થીઓમાં તણાવ ઓછો રહે છે અને તેઓ સાચી સમજ સાથે વિષય શીખે છે. માત્ર રટણ પર આધાર રાખતા નથી. જીવન સાથે જોડાયેલી શિક્ષણ પ્રણાલીફિનલેન્ડની શિક્ષણ પ્રણાલી જીવન સાથે જોડાયેલી છે. શાળામાં વિદ્યાર્થીઓને ટીમ વર્ક, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સમય વ્યવસ્થાપન અને સ્વતંત્ર વિચાર કરવાની ટેવ પાડવામાં આવે છે. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેને શીખવાનું એકમાત્ર સાધન બનાવવામાં આવતું નથી. ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થા ગુણવત્તા, સમાનતા અને માનવીય મૂલ્યો પર આધારિત છે. આ પ્રણાલી વિદ્યાર્થીઓને માત્ર નોકરી માટે નહીં પરંતુ જવાબદાર, સંવેદનશીલ અને આત્મવિશ્વાસી નાગરિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કારણે જ ફિનલેન્ડ આજે વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલીમાં સ્થાન ધરાવે છે. આમ તો કોઇ પણ બે દેશ કે તેની વ્યવસ્થાની સરખામણી ના કરવી જોઇએ, કારણ કે એ ત્યાંની સંસ્કૃતિ, લોકો, રીતભાત અને ભાષા આધારિત હોય છે પણ આજે વૈશ્વિકરણના જમાનામાં પૃથ્વી ચણી બોર જેવડી નાની બની રહી હોય, વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરી માટે એક દેશથી લઇને બીજા દેશની સફર ખેડી રહ્યા હોય ત્યારે શિક્ષણ પ્રણાલી જેવી વ્યવસ્થા દરેકને અસર કરે છે. મેડમ મોન્ટેસરી પરથી પ્રેરણા લઇ આપણા બાળકોના મૂછાળી મા એવા ગિજુભાઇ બધેકાએ દક્ષિણા મૂર્તિ સ્થાપી એક ઉત્તમ ઉદાહરણ સ્થાપેલું જ ને. અને આ તો બાળકોની જિંદગી અને એમના ઘડતરનો સવાલ છે ત્યારે શિક્ષણ વ્યવસ્થા જેવા અગત્યના મુદ્દે વિચારવું અને શીખવું જ રહ્યું. બાકી ભાર વગરના ભણતરના પ્રણેતા એવા મેડમ મોન્ટેસરી એ કહેલું એમ શાળાઓના વર્ગમાં બેઠેલા બાળકો, ખીંટી એ ટીંગાડેલા પતંગિયા જેવા લાગે છે. બાળકોને મુક્ત આકાશમાં ઉડવા માટે તૈયાર કરવા એ કોઇ પણ શિક્ષણ વ્યવસ્થા અને સમાજની ફરજ હોઇ શકે. આખરે આજનું બાળક જ નક્કી કરશે કે આવનારી દુનિયા કેવી હશે!
ઇસ્કોન મંદિર પાસે આવેલી ગુજરાત સમાચારની ઓફિસ પાછળ આવેલા વ્હીલ ચેરના ગોડાઉનમાં આગ લાગી છે. જેને પગલે ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પર પ્રહારો કર્યા હતા. રાજુ કરપડાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે આખી આમ આદમી પાર્ટી નહીં પણ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. અમે જેલમાં જ રહીએ તેવા પ્રયાસ કર્યા. આમ આદમી પાર્ટી મજબૂત ન થાય તે માટે બંને નેતા કામ કરી રહ્યા છે. હું હાલમાં કોઈ પાર્ટી સાથે જોડાવવાનો નથી, પરંતુ આવતા દિવસોમાં ખેડૂત સંમેલન જરૂર બોલાવીશ. ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને ખેડૂતોના હિતમાં જે કામ કરશે તે પાર્ટીમાં જોડાઇશ અને તે પાર્ટીના સ્ટેજ પરથી વખાણ પણ કરીશ. ગઇકાલે રાજ્યની રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ વળાંક સર્જાયો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું હતું. AAP સૌરાષ્ટ્રમાં પકડ ગુમાવી શકે છેરાજુ કરપડાના રાજીનામાંથી સૌરાષ્ટ્રમાં AAPને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં AAPની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદાપ્રથા સામે મોટું આંદોલન થયું, જેથી ખેડૂતો AAP તરફ ઢળવા લાગ્યા, પણ અચાનક જ રાજુ કરપડાના રાજીનામાં બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે એ વાત નક્કી છે. ખેડૂત આંદોલનોથી ઓળખરાજુ કરપડા લાંબા સમયથી ખેડૂત મુદ્દાઓ પર સક્રિય રહ્યા છે અને રાજ્યભરમાં ખેડૂત આંદોલનો અને કાર્યક્રમોમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના અચાનક રાજીનામાથી AAPના ખેડૂત સંગઠનને અસર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. BJPમાં જોડાઈ શકે છેસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ શું બોલ્યા હતા કરપડાજેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે તેઓ આગામી સમયમાં ખેડૂતોના હિત માટે વધુ મક્કમતાથી લડત આપશે. તેમણે ખાસ કરીને ખેડૂતોનાં પાણી, વીજલાઇન અને અન્ય મૂળભૂત પ્રશ્નોને લઈને ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી. જામીન પર મુક્ત થયા બાદ રાજુ કરપડાએ જેલવાસ દરમિયાન તેમના પરિવારને સહયોગ આપનારા તમામ ખેડૂતો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસેમાં સાડાત્રણ મહિનાનો જેલવાસબોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી ગણાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ સામે અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ખૂનની કોશિશ, ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે મંડળી રચવાનો આરોપ લગાવાયો હતો. ત્યાર બાદ તેઓ સાડાત્રણ મહિના જેલમાં રહ્યા હતા અને 1 ફેબ્રુઆરીના રોજ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. શું હતો ઘર્ષણનો મામલોબોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં 'કડદો' કરી ખેડૂતોને ઓછા ભાવ આપવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 12 ઓક્ટોબરના રોજ પોલીસે મંજૂરી નકારી હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરાયું હતું. ગેરકાયદે મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસકાફલા પર પથ્થરમારો થયો હતો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. કોણ છે રાજુ કરપડા?રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દૂધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા. 2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી .તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતાં જ હતાં. 2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ, ‘25મા ભારત રંગ મહોત્સવ’નું અમદાવાદ પ્રકરણ 14 February, 2026 થી શરૂ થઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આ મહોત્સવ 16 February સુધી ચાલશે. આ ત્રણ દિવસીય કલા ઉત્સવ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ‘ઉપાસના ઓડિટોરિયમ’ ખાતે યોજાશે, જ્યાં પ્રેક્ષકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ વર્ષના મહોત્સવની થીમ ‘સંવાદ સંસ્કૃતિયોં કા’ નક્કી કરવામાં આવી છે. ખાસ સમર્પણ અને નાટકોનું આકર્ષણ આ વર્ષનું અમદાવાદ પ્રકરણ ગુજરાતી રંગભૂમિમાં અમૂલ્ય પ્રદાન કરનાર રાજુ બારોટને સમર્પિત કરવામાં આવ્યું છે. મહોત્સવની શરૂઆત 14 February ના રોજ મહાદેવ સિંહ લખાવત નિર્દેશિત મ્યુઝિકલ ટેલ ‘Desert Bloom’ થી થશે. બીજા દિવસે ગાંધર્વ દિવાન દ્વારા દિગ્દર્શિત હિન્દી નાટક ‘Avalanche’ રજૂ કરાશે. મહોત્સવના અંતિમ દિવસે 16 February ના રોજ ભવભૂતિના ઉત્તરારામચરિત પર આધારિત અને ડૉ. ચવ્હાણ પ્રમોદ દિગ્દર્શિત ગુજરાતી નાટક ‘સીતા નો વેશ’ ભજવવામાં આવશે. કલાપ્રેમીઓ માટે NSD નો સંદેશ NSD ના નિર્દેશક ચિત્તરંજન ત્રિપાઠીએ જણાવ્યું કે અમદાવાદ કલા અને સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર છે. તેમણે આશા વ્યક્ત કરી કે અમદાવાદી પ્રેક્ષકો આ વૈશ્વિક નાટકોને ઉષ્માભર્યો પ્રતિસાદ આપશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં આ મહોત્સવ 27 January થી 20 February, 2026 સુધી ચાલી રહ્યો છે, જેમાં 9 દેશોના કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન 228 ભાષાઓમાં 277 થી વધુ નાટકો રજૂ થવાના છે. થિયેટરને ડિજિટલ યુગમાં લોકપ્રિય બનાવવા NSD એ ‘રંગ આકાશ’ ઇન્ટરનેટ રેડિયો અને ‘નાટ્યમ’ OTT પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યા છે.
માળીયામાં બાઈક સવાર યુવાનનું મોત:ભાઈને તેડવા જતાં ટ્રકે અડફેટે લેતા બે સંતાનોએ પિતા ગુમાવ્યા
માળીયા (મી) તાલુકામાં એક માર્ગ અકસ્માતમાં 23 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. સંજયભાઈ સિંદૂરસિંગ માવી નામના આ યુવાન પોતાના ભાઈને તેડવા જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે તેમની બાઈકને હડફેટે લીધી હતી. આ ઘટનામાં બે સંતાનોએ પોતાના પિતા ગુમાવ્યા છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયાના કુંભારીયા ગામે ખેતીકામ કરતા સંજયભાઈ, મોરબી તાલુકાના લૂંટાવદર ગામે રહેતા તેમના નાના ભાઈ જશુને તેડવા માટે બાઈક પર જઈ રહ્યા હતા. રસ્તામાં પેટ્રોલ પંપ નજીક ચોકડી પાસે એક ટ્રક ચાલકે તેમની બાઈકને હડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સંજયભાઈને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત ન નીવડતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે સંજયભાઈના બે નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
જલારામ બાપાની પુણ્યતિથિ:હિંમતનગરમાં 145મી પુણ્યતિથિએ સમૂહ આરતીનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ડેમાઈ રોડ પર આવેલા જલારામ બાપાના મંદિરે તેમની 145મી પુણ્યતિથિ નિમિત્તે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આયોજન મંદિર દ્વારા 12 ફેબ્રુઆરી, ગુરુવારે કરવામાં આવ્યું હતું. જલારામ બાપાની 145મી પુણ્યતિથિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આરતીમાં 30થી વધુ પરિવારોએ ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી આરતીનો લાભ લીધો હતો. આરતી બાદ મંદિર પરિસરમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું છે. સમગ્ર દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી અત્યારે 'શિવમય' બની ગઈ છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં જાણે મહાદેવનો વાસ હોય તેવો અનુભવ ભાવિકો કરી રહ્યા છે. ભવનાથમાં ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર 1008 શ્રી હરિહરાનંદ ભારતી બાપુએ મેળાના બીજા દિવસના માહોલ અંગે જણાવ્યું હતું કે, આજે મેળાનો બીજો દિવસ છે અને ભવનાથ તળેટીમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આમ તો આખું વર્ષ આ ક્ષેત્ર શિવમય હોય છે, પરંતુ શિવરાત્રીના દિવસોમાં અહીંનો આનંદ અલૌકિક હોય છે. ગઈકાલે ભવનાથ મહાદેવના મંદિરે પરંપરાગત ધ્વજારોહણ થયા બાદ અલગ-અલગ આશ્રમોમાં પણ ધર્મધ્વજા લહેરાવવામાં આવી હતી. જેની સાથે જ નાગા સાધુઓએ ધૂણી ધખાવી 'અલખ નિરંજન' અને 'મહાદેવ હર'ના નાદ સાથે મેળાને વિધિવત વેગ આપ્યો છે. અન્નક્ષેત્રોમાં સેવાનો યજ્ઞ ભવનાથ ક્ષેત્રની વિશેષતા તેના અન્નક્ષેત્રો છે. હરિહરાનંદ ભારતી બાપુએ વધુમાં ઉમેર્યું કે, અહીં વર્ષના ૩૬૫ દિવસ અન્નક્ષેત્રો ધમધમતા હોય છે, જ્યાં લાખો ભાવિકો પ્રસાદ લે છે. પરંતુ શિવરાત્રીના પાંચ દિવસો દરમિયાન અહીં 'ભક્તિ, ભોજન અને ભજન'નો અદભૂત ત્રિવેણી સંગમ રચાય છે. દરેક નાના-મોટા ઉતારાઓમાં ભાવિકોને ઉતારો અને ભોજન પ્રસાદી યથાશક્તિ પૂરી પાડવામાં આવે છે. આ મેળો માત્ર મનોરંજન નથી, પણ સાચા અર્થમાં શિવ અને જીવના મિલનનું પર્વ છે. ગિરનારની સિદ્ધભૂમિ અને અલૌકિક હાજરી એવું માનવામાં આવે છે કે ગિરનાર ક્ષેત્રમાં નવનાથ, સિદ્ધ ચોરાસી, ૬૪ જોગણીઓ અને ૫૨ વીરનો અદ્રશ્ય વાસ છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, શિવરાત્રીના પાવન દિવસોમાં સ્વયં મહાદેવ કોઈને કોઈ સ્વરૂપે અહીં વિચરણ કરે છે. જેમ નરસિંહ મહેતાની અતૂટ શ્રદ્ધાને વશ થઈને ભગવાન કૃષ્ણે તેમને દર્શન આપ્યા હતા, તેમ ભવનાથમાં શ્રદ્ધા લઈને આવતા પ્રત્યેક ભક્તને મહાદેવ કોઈને કોઈ રૂપે આશીર્વાદ આપે જ છે. નાગા સાધુઓના કરતબો અને 'રવેડી'નું આકર્ષણ મેળાનું મુખ્ય આકર્ષણ દિગંબર નાગા સાધુઓ છે. પાંચ દિવસ સુધી ધૂણી ધખાવીને આરાધના કર્યા બાદ, શિવરાત્રીની મધ્યરાત્રિએ નિકળતી 'રવેડી'માં આ સાધુઓ શસ્ત્ર કળાના કરતબો બતાવે છે. તલવારબાજી, પટ્ટાબાજી અને લિંગના અલગ-અલગ દાવપેચ જોઈને શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ રવેડીમાં વિવિધ અખાડાના મહામંડલેશ્વરો, સાધુ-સંતો અને ઋષિમુનિઓ શણગારેલા ગજરાજો અને ધર્મધ્વજા સાથે જોડાય છે. મૃગીકુંડમાં શાહી સ્નાનનું મહાત્મ્ય રવેડીનો માર્ગ ભવનાથ મંદિર પાસે આવેલા પૌરાણિક 'મૃગીકુંડ' પાસે પૂર્ણ થાય છે. અહીં સાધુ-સંતો શાહી સ્નાન કરે છે. લોકવાયકા છે કે મૃગીકુંડમાં સ્નાન કરવા પડતા સાધુઓમાંથી અમુક સાધુઓ બહાર નથી આવતા, એટલે કે સ્વયં મહાદેવ અદ્રશ્ય રૂપે તેમની સાથે સ્નાન કરે છે. આ કુંડનું મહત્વ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ જેટલું જ પવિત્ર મનાય છે. આખું વર્ષ બંધ રહેતો મૃગીકુંડ માત્ર શિવરાત્રીની રાત્રે જ શાહી સ્નાન માટે ખોલવામાં આવે છે. ભવનાથમાં અત્યારે ભક્તિનો સાગર ઘૂઘવી રહ્યો છે. ભલે તે આકરો તડકો હોય કે રાતની ઠંડી, ભોળાનાથના ભક્તોમાં ઉત્સાહ જરાય ઓછો જોવા મળતો નથી. સાધુઓની ધૂણીનો ધુમાડો અને ગિરનારની ગુફાઓમાંથી આવતા શંખનાદથી સમગ્ર જૂનાગઢ અત્યારે કૈલાસધામ દેખાય રહ્યું છે…
ગુજરાતના આશરે 75,000 NCC કેડેટ્સ વચ્ચે યોજાયેલી અત્યંત કઠિન સ્પર્ધામાં ગવર્નમેન્ટ પોલિટેકનિક અમદાવાદએ મેદાન માર્યું છે. રાજ્યના કુલ 110 કેડેટ્સમાંથી આ સંસ્થાના 4 કેડેટ્સની પ્રતિષ્ઠિત Republic Day Camp (RDC) 2026 માટે પસંદગી કરવામાં આવી હતી. આ કેડેટ્સે નવી દિલ્હી ખાતે ગુજરાતનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું છે, જે સંસ્થાના ઇતિહાસમાં એક સુવર્ણ સિદ્ધિ ગણાય છે. કમિશનર દ્વારા પ્રશંસાપત્ર એનાયત આ નોંધપાત્ર સફળતા બદલ ટેકનિકલ શિક્ષણના કમિશનર B. H. તલાટી દ્વારા સંસ્થાના આચાર્ય,લેફ્ટનન્ટ ડો. દુહિતા લખતરીયા, લેફ્ટનન્ટ ડો. પંકજ કુમાર શર્મા અને ચારેય કેડેટ્સનું બહુમાન કરવામાં આવ્યું હતું. કમિશનરે કેડેટ્સને Commendation Certificate આપી તેમની શિસ્ત અને સમર્પણની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ સન્માન સમારોહથી સંસ્થાની મજબૂત NCC પરંપરા વધુ તેજસ્વી બની છે.
અમદાવાદ SOGએ બેંગકોકથી અમદાવાદ સુધી ગાંજાની સિન્ડીકેટ ચલાવતી ચેનલનો પર્દાફાશ કર્યો છે. SOGએ 7.97 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ભાઈ-બહેનની ધરપકડ કરી હતી. યુવતીએ ડ્રગ્સ માફીયાના કહેવાથી ગાંજાની તસ્કરી માટે ચાર રાજસ્થાનના યુવકોની ફૌજ તૈયાર કરી હતી અને જાન્યુઆરીમાં તેમને ગાંજો લેવા માટે પણ મોકલ્યા હતા. ગાંજાની ખેપમાં મુંબઈ એરપોર્ટ પરથી એક યુવક ઝડપાયો હતો જ્યારે ત્રણ લોકો કરોડો રુપિયાનો માલ લઈને બહાર નીકળી ગયા હતા. વેગેનાર કાર આવતા જ SOGએ કોર્ડન કરી લીધીSOGના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે જીયા ઉર્ફે જેશીકા પ્રજાપતિ અને ચેતન પ્રજાપતિએ મીલન અને અમરાન જોશી નામના શખ્સો પાસેથી થાઈલેન્ડથી ગાંજો મંગાવ્યો છે. બંને શખ્સોએ ગાંજો લઈને જીયા અને ચેતનને આપ્યો હતો અને તે વેગેનાર કારમાં ચિલોડાથી એરપોર્ટ તરફ જવાના છે. બાતમીના આધારે SOGની ટીમ વોચમાં હતી ત્યારે એક વેગેનાર કાર આવી હતી. SOGએ તેને કોર્ડન કરી લીધી હતી અને યુવક અને યુવતીને બહાર ઉતરવા માટે કહ્યું હતું. જીયા પ્રજાપતિ ગાંજાની હેરફેરની માસ્ટરમાઈન્ડકાર ચલાવનાર યુવકનું નામ ચેતન સુભાષચંદ્ર પ્રજાપતિ છે અને તે મુળ રાજસ્થાનના રાજસમદ જીલ્લા નાથદ્વારા તાલુકાના ગુંજોલ ગામનો રહેવાસી છે. ચેતનની બાજુમાં જીયા ઉર્ફે જેશીકા કાલુરામ પ્રજાપતિ બેઠી હતી, જે ગાંજાની હેરફેરની માસ્ટરમાઈન્ડ છે. જીયા નોબલનગર કોતરપુર વોટર વર્કસની પાસે આવેલા ઘનશ્યામનગરમાં રહે છે. કારમાંથી 3 થેલા મળ્યાSOGએ જીયા અને ચેતનની અંગજડતી કરી હતી, પરંતુ તેમની પાસે માત્ર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ બાદ SOGએ કારની ઝડતી કરતા તેમાથી ત્રણ થેલા મળી આવ્યા હતા જેને વારાફરથી ખોલીને જોતા કેટલાક પાર્સલ હતા. પાર્સલમાં ભુખરા રંગની વનસ્પતિ હતી. લગભગ 8 કરોડનો ગાંજો મળ્યોSOGએ બંનેને વનસ્પતિ મામલે પૂછતા તેમણે હાઈબ્રીડ ગાંજો હોવાની કબૂલાત કરી હતી. બંનેની અટકાયત કરીને તેમને SOGની વડી કચેરીએ લઈને આવ્યા હતા.SOGએ તરત જ એફએસએલના અધિકારીઓને જાણ કરી દીધી હતી. FSLએ આવીને વનસ્પતિનું પરિક્ષણ કર્યુ હતું અને બાદમાં તે હાઈબ્રીડ ગાંજો હોવાનું સામે આવ્યુ હતું. SOGએ વજનકાંટાથી વનસ્પતિનું વજન કરતા તે 22.780 કિલો હોવાનું સામે આવ્યુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ગાંજાની કિંમત 7.97 કરોડ રૂપિયા થાય છે. FSLના રીપોર્ટ બાદ SOGએ બંનેની પૂછપરછ શરુ કરી હતી. અરમાને જીયાને બેંગકોકથી હાઈબ્રીડ ગાંજાની તસ્કરી કરવાની ઓફર આપી હતીજીયા પ્રજાપતિ નવેમ્બર 2025માં બેંગકોક ગઈ હતી જ્યા તેની મુલાકાત મિલન વઘાસિયા (રહે, સુરત) સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થયા બાદ જીયા બેંગકોકથી અમદાવાદ આવવા માટે નીકળી હતી ત્યારે મિલને તેની મુલાકાત અરમાન જોશી સાથે કરાવી હતી. અમરાન જોશી અમદાવાદનો જ રહેવાસી છે. અરમાને જીયાને બેંગકોકથી હાઈબ્રીડ ગાંજાની તસ્કરી કરવાની ઓફર આપી હતી, પરંતુ જીયાએ ઓફરને ફગાવી દીધી હતી. લાલચમાં આવીને જીયાએ કૌટુંબીક ભાઈને ડ્રગ્સની હેરફેરમાં સામેલ કર્યોઅરમાને જીયાને કહ્યુ હતું કે તું મને એવા માણસો આપ કે બેંગકોકથી ગાંજો લઈને આવી શકે. અમરાને જીયાને માણસો ગોઠવી આપવાના બદલામાં કમીશન આપવાની પણ વાત કરી હતી. જીયા અરમાનની લાલચમાં આવી ગઈ હતી અને તેણે પોતાના કૌટુંબીક ભાઈ ચેતન પ્રજાપતિને ડ્રગ્સની હેરફેર માટે સામેલ કર્યો હતો. નાથદ્વારામાં રહેતા 4 લોકોને બેંગકોક જવા તૈયાર કર્યાજીયા અને ચેતને મળીને રાજસ્થાનના નાથદ્વારામાં રહેતા ગોપાલ સોલંકી, ઉમેશ સોલંકી તથા પ્રશાંત કલાલ અને ભુવનેશ બુનકરને બેંગકોક જવા માટે તૈયાર કર્યા હતા. ચારેય જણા ગાંજો લઈને આવે તો જીયાને કમીશન મળશે તેવી વાત અરમાને કરી હતી. એક શખ્સ મુંબઈ એરપોર્ટ પર ઝડપાયોજાન્યુઆરી 2026માં ચારેયને બેંગકોક મોકલ્યા હતા જ્યારે મુંબઈ એરપોર્ટ ખાતે ભુવનેશ ગાંજા સાથે ઝડપાયો હતો. આ સિવાય બીજા ત્રણેય મિત્રો ગાંજો એરપોર્ટની બહાર લાવવામાં સફળ થઈ ગયા હતા. ભુવનેશ જેલમાં હોવાથી જીયા અને ચેતને ગાંજાનો જથ્થો તેમની પાસે રાખ્યો હતો. બંને આ ગાંજો વેચવા માટે નીકળ્યા હતા ત્યારે SOGએ બાતમીના આધારે તેમની ધરપકડ કરી છે. SOGએ 7.97 કરોડના જથ્થા સાથે ભાઈ-બહેનની ધરપકડ કરી છે જ્યારે બીજા લોકોની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે. SOGએ ચેતન, જીયા, મિલ, અરમાન, ગોપાલ, ઉમેશ, પ્રશાંત અને ભુવનેશ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કર્યો છે.
Kiren Rijiju Release Video : સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલા હોબાળાનો એક વીડિયો જાહેર કરીને રાજકીય રીતે વધારે એક મોરચો ખોલ્યો છે. રિજિજુએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના સાંસદોએ સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો ક્લિપ બનાવી અને ગરીમા તથા મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, આ ઘટના 4 ફેબ્રુઆરીની હોવાનો અંદાજ છે. રિજિજુના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના 20 થી 25 સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા.
'દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ...', UNના રિપોર્ટમાં દાવો
UN Report Links JeM to Delhi Red Fort Attack 2025 : દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા આતંકી હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલમાં સનસનીખેજ ખુલાસો થયો છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલના નવા રિપોર્ટમાં આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું સામે આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો યુએન સિક્યુરિટી કાઉન્સિલની 1267 સેન્ક્શન્સ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ, એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેન્ક્શન્સ મોનિટરિંગ ટીમે લાલ કિલ્લા હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણીની પુષ્ટિ કરી છે. એક સભ્ય દેશના જણાવ્યા અનુસાર, જૈશે પોતે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા યુવાનોને રાજકીય તકો પૂરી પાડવા માટે 'રાષ્ટ્રીય પ્રતિભા શોધ' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની વિચારધારાને મક્કમતાથી રજૂ કરી શકે તેવા પ્રતિભાશાળી વક્તાઓને શોધીને તેમને સંગઠનમાં વિવિધ સ્તરે હોદ્દા આપવાનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વિશેષ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું હતું. 'રાષ્ટ્રીય પ્રતિભા શોધ' નામનો આ કાર્યક્રમ એવા યુવાનોને મંચ પૂરો પાડશે, જેઓ કોંગ્રેસની વિચારધારા અને લોકહિતના મુદ્દાઓને નિર્ભયતા તથા પ્રખરતાથી જનતા સમક્ષ રજૂ કરી શકે. આ કાર્યક્રમ હેઠળ પ્રતિભાશાળી વક્તાઓની પસંદગી માટે એક ચોક્કસ પ્રક્રિયા અપનાવવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન એપ દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજીઓ મળ્યા બાદ ઉમેદવારોની ક્ષમતા અને પ્રતિભાનું મૂલ્યાંકન કરવામાં આવશે. પસંદગી પામેલા યુવાનોને તેમની યોગ્યતા અનુસાર રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે સંગઠનમાં વિવિધ હોદ્દાઓ અને જવાબદારીઓ સોંપવામાં આવશે. આ પહેલ રાજનીતિમાં રસ ધરાવતા અને વક્તૃત્વ કળામાં નિપુણ યુવાનોને આગળ વધવા માટે નવી તકો પૂરી પાડશે.
લૂંટ કેસમાં 7 વર્ષની સજા પામેલો ફરાર આરોપી ઝડપાયો:જામનગર LCBએ 46 ગુના નોંધાયેલા ગુનેગારને પકડ્યો
જામનગરમાં લૂંટના એક કેસમાં સાત વર્ષની સજા પામેલા અને લાંબા સમયથી ફરાર આરોપી હનિક ઉર્ફે હનફો ચોર હુસેનભાઈ સના વાઘેરને એલસીબી પોલીસે છરી સાથે ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામનગર સહિત ગાંધીધામ, કંડલા અને રાજકોટમાં કુલ 46 ગુના નોંધાયેલા છે. આ કેસ વર્ષ 2018નો છે, જેમાં શહેરની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા ગુણેશ્વરસિંધ ઇબોબીસિંગ લાયશ્રમના મકાનમાં અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી ફરિયાદી અને તેમના પરિવારજનોને ઇજા પહોંચાડી રોકડ અને ચીજવસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં કોર્ટે આરોપી હનિક ઉર્ફે હનફાને સાત વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો, પરંતુ તે ફરાર હતો. જામનગર એલસીબીના મયુદીનભાઈ સૈયદ, અરણજભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરને બાતમી મળી હતી કે, સજા પામેલો આ ગુનેગાર બેડેશ્વર ઓવરબ્રિજ નીચે હાજર છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી હનફાને ઝડપી લીધો હતો. તેની પાસેથી એક છરી પણ મળી આવતા, મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગનો વધુ એક ગુનો તેની સામે નોંધવામાં આવ્યો છે. આરોપી હનિક ઉર્ફે હનફા સામે જામનગર શહેર, તાલુકા, માળીયા-મિયાણા, રાજકોટ, ગાંધીધામ અને કંડલા પોલીસ મથકોમાં મળીને કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે, જે તેની લાંબી ગુનાહિત કારકિર્દી દર્શાવે છે.
પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે 300થી વધુ હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં યાત્રિકોને મેનિન્જાઈટિસ (મગજનો તાવ) અને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. આયોજન હજ ખીદમત કમિટી અને આરોગ્ય વિભાગના સહયોગથી કરાયું હતું. સાઉદી અરેબિયાના મક્કા અને મદીના ખાતેની વાર્ષિક હજ યાત્રા પહેલાં યાત્રિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ કેમ્પ મહત્વનો હતો. પાટણ સિવિલ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી અને હજ ખીદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે બુધવારે આ ખાસ રસીકરણ કેમ્પ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયમો મુજબ હજયાત્રીઓ માટે મગજના તાવ અને પોલિયોની રસી લેવી ફરજિયાત છે. રસીકરણની સાથે સિવિલ સર્જન દ્વારા તમામ યાત્રિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા. યાત્રા દરમિયાન રાખવાની થતી તબીબી સાવચેતીઓ અંગે જરૂરી માર્ગદર્શન અને ઇમરજન્સી મેડિસિન કિટ પણ પૂરી પાડવામાં આવી હતી. હજ કમિટીના ટ્રેનર રહીશ અહેમદે જણાવ્યું હતું કે, આ વર્ષે પાટણ જિલ્લાના 300થી વધુ યાત્રિકો હજ પઢવા જઈ રહ્યા છે. આ તમામ યાત્રિકો આગામી એપ્રિલ માસના બીજા સપ્તાહમાં નિર્ધારિત ફ્લાઈટ દ્વારા રવાના થશે. સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વહીવટી સ્ટાફ અને કમિટીના સ્વયંસેવકોએ હાજર રહીને કામગીરી સુચારુ રૂપે પૂર્ણ કરી હતી.
વાપીમાં 3.18 લાખના કોપરની ચોરી:પોલીસે CCTVના આધારે તપાસ કરી પાંચ શકમંદોની પૂછપરછ શરૂ કરી
વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મોડીસન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી આશરે 3.18 લાખની કિંમતના 188.990 કિલોગ્રામ તાંબાના (કોપર) વાયરની ચોરી થઈ છે. આ મામલે વાપી ઉદ્યોગનગર પોલીસે પાંચ શકમંદો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, તસ્કરોએ વાપી GIDCમાં આવેલી મોડીસન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના યુનિટ-2 ના પતરાં તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. આ ચોરીની ઘટના ગત તારીખ 15 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન બની હતી. કંપનીના રવિકુમાર કાંજીલાલ માંડવાવાળાએ 11 ફેબ્રુઆરીના રોજ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાતમીદારો અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી પાંચ શકમંદોની ઓળખ કરી છે. જેમાં શૈલેષ ઘેલાભાઈ મિસ્ત્રી, જગદીશ ચીમનભાઈ પટેલ, સતીષ ભગુભાઈ ડાભીયા, મહેન્દ્ર દત્તાત્રેય પાટીલ અને દિલીપ રામનિવાસ શુક્લાનો સમાવેશ થાય છે. વાપી ઉદ્યોગનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પાંચેય શકમંદોની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે. ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કરવા, આ ગેંગમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને તેમણે અન્ય કોઈ ચોરીઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
નવસારી જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાની લાગણી સાથે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે આજે વધુ ત્રણ હોદ્દેદારોએ પોતાના રાજીનામાં સુપરત કર્યા છે. આજે રાજીનામું આપનારાઓમાં જલાલપોર તાલુકાના મહામંત્રી કેતનભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલ તેમજ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રોશનીબેન પટેલનો સમાવેશ થાય છે. આ હોદ્દેદારોએ જિલ્લા સંગઠનના માળખામાં મહામંત્રીનો હોદ્દો ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા બે દિવસમાં કુલ સાત હોદ્દેદારોએ પક્ષના પદ પરથી રાજીનામાં આપ્યા છે. અગાઉ, નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ અશોક ભગુભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલે રાજીનામાં આપ્યા હતા. રાજીનામું આપનાર કેતન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે જિલ્લામાં ભાજપને મજબૂત કરવા માટે સખત મહેનત કરી છે. જલાલપોરના કાર્યકરોએ દરેક ચૂંટણીમાં પક્ષ માટે તનતોડ પ્રયાસો કર્યા છે, પરંતુ નવા માળખામાં જલાલપોરના એક પણ કાર્યકરને પ્રમુખ કે મહામંત્રીનો હોદ્દો અપાયો નથી. આ અન્યાય સામે અમારો વિરોધ છે. અમે હોદ્દા છોડી રહ્યા છીએ, પરંતુ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા રહીશું. લાંબા સમયથી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય આર.સી. પટેલે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ સાથે ટેલિફોનિક વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું. હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અંગત કામ અર્થે બહાર હોવાથી, તેઓ પરત ફરે ત્યારે હજુ વધુ રાજીનામાં પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પક્ષમાં પડેલું આ ગાબડું ભાજપ હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય બન્યું છે.
પાટડીની સગીરા પર સાણંદ-વિરમગામ હાઈવે પર દુષ્કર્મ:ધોળકાના યુવક અને મદદ કરનાર મિત્રો સામે ફરિયાદ
પાટડીમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સાણંદ-વિરમગામ હાઈવે પર ધોળકા તાલુકાના એક યુવકે આ કૃત્ય આચર્યું હતું, જેમાં તેના કાર ચાલક મિત્રએ મદદગારી કરી હતી. આ અંગે પાટડી પોલીસ મથકે પોક્સો કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડીમાં રહેતી 16 વર્ષ, 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. આથી, ગત 5 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજના સમયે સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી નીકળ્યા બાદ સગીરા ખાનગી વાહનો દ્વારા પાટડીથી માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા થઈ ધોળકા પહોંચી હતી. ત્યાં તેણે કોઈ વ્યક્તિના ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ પર દોઢ વર્ષથી મિત્ર બનેલા ધોળકા તાલુકાના વિરપુર ગામના ચેતન ઠાકોરનો સંપર્ક કર્યો હતો. અડધા કલાક બાદ ચેતન ઠાકોર તેના મિત્ર જયપાલ સાથે કાર લઈને સગીરાને મળવા આવ્યો હતો. સગીરાએ ઘરેથી ચાલી નીકળી હોવાનું જણાવતા, બંને યુવકો તેને સમજાવીને પરત વિરમગામ મૂકવા માટે કારમાં નીકળ્યા હતા. સાણંદ-વિરમગામ હાઈવે પર કાર ઊભી રાખીને જયપાલ કારમાંથી નીચે ઉતરી ગયો હતો. આ દરમિયાન ચેતન ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બંને યુવકો સગીરાને વિરમગામની પોપટ ચોકડી પાસે ઉતારીને જતા રહ્યા હતા. મોડી રાત્રે સગીરા પાટડી ચાર રસ્તા પાસે કોઈ વાહનમાંથી ઉતરતા પરિવારજનો તેને ઘરે લઈ આવ્યા હતા. બીજા દિવસે માતાએ પૂછપરછ કરતા સગીરાએ સમગ્ર ઘટના જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ ચેતન ઠાકોર સામે દુષ્કર્મ અને જયપાલ સામે મદદગારીની ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી જે.ડી.પુરોહિત આ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજે કેન્દ્ર સરકારની નીતિઓ સામે શ્રમિકો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં LIC (ભારતીય જીવન વીમા નિગમ) અને વિવિધ બેંકોના હજારો કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળના કારણે બેંકિંગ અને વીમા ક્ષેત્રની કામગીરીને મોટી અસર પહોંચી છે. કર્મચારીઓએ એકઠા થઈને 'કેન્દ્ર સરકાર હાય હાય' ના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શ્રમ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો, ખાનગીકરણની નીતિ અને નવી ભરતીનો અભાવ હોવાનું જણાવાયુ છે. કર્મચારીઓનો આરોપ છે કે સરકાર મોટા કોર્પોરેટ ગૃહોને ફાયદો કરાવવા માટે સામાન્ય શ્રમિકોના હિતોનું બલિદાન આપી રહી છે. વેસ્ટર્ન ઝોન ઈન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી હર્ષદ પોપટ આ વિરોધ પ્રદર્શન અંગે જણાવ્યું કે, આજે દેશમાં LIC, વિવિધ બેંકો સહિતની સરકારી સંસ્થાનાં 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાળ પર છે. તેનું મુખ્ય કારણ એ છે કે પહેલા જે 29 શ્રમ કાયદાઓ હતા, તેને સરકારે માત્ર 4 કાયદાઓમાં પરિવર્તિત કરી દીધા છે. પહેલાના 29 કાયદાઓથી કામદારો થોડા ઘણા અંશે સુરક્ષિત હતા, જોકે માલિકો ત્યારે શોષણ તો કરતા જ હતા, પરંતુ હવે તો સરકારે માલિકોને છૂટો દોર આપી દીધો છે. હવે માલિકો કામદારોનો પૂરો પગાર નહીં આપે, લીવ બેનિફિટ નહીં આપે, પેન્શન કે PF ના બેનિફિટ નહીં આપે તો પણ ચાલશે તેવી સ્થિતિ સર્જાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, 300 થી ઓછા કામદારો હોય તેવા એકમોમાં ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરવાની પરવાનગી આપી દેવાઈ છે. આ ઉપરાંત, 8 કલાકના બદલે 12 કલાક ફરજિયાત કામ કરવાનો જે સિદ્ધાંત લાવવામાં આવ્યો છે, તેનાથી કામદારના પારિવારિક જીવન પર ગંભીર અસર પડશે. સવારે 8 થી રાત્રે 8 સુધી કામ કરવાથી તે બાળકોના શિક્ષણ કે પરિવારને સમય આપી શકશે નહીં. ઓવરટાઈમની આવક પણ બંધ થઈ જશે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને જીવવું મુશ્કેલ બનશે. રાજકોટમાં LIC ના 200 થી વધુ અને બેંકોના મળીને હજારો કર્મચારીઓ આ લડતમાં જોડાયા છે. LIC એ દેશના વિકાસમાં, રસ્તા, લાઈટ અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં હંમેશા સરકારને આર્થિક ટેકો આપ્યો છે, તેમ છતાં સરકાર LIC ના શેર વેચીને તેનું ખાનગીકરણ કરવા તરફ જઈ રહી છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ત્યારે આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. AEE ઈન્ડિયન યુનિયનના રાજકોટ ડિવિઝનના સંગઠન મંત્રી ઈમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, આ હડતાળમાં LICના ક્લાસ 3 અને 4 ના કર્મચારીઓ સાથે બેંક યુનિયનો, GEBના કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ પણ જોડાયા છે. જો કેન્દ્ર સરકાર શ્રમિક વિરોધી નીતિઓમાં ફેરફાર નહીં કરે અને લેબર લોઝને યોગ્ય રીતે અમલમાં નહીં મૂકે, તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય નેતાઓના આદેશ મુજબ ધરણા અને હડતાળ જેવા વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની લાંબા સમયથી નવી ભરતી કરવામાં આવી નથી. આગામી સમયમાં નિવૃત્ત થતા કર્મચારીઓની સંખ્યા વધુ હોવાથી સંસ્થાનું કામકાજ પ્રભાવિત થવાની પણ શક્યતા છે. ઉપરાંત, કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતીઓ અને અટકાવવામાં આવેલી બદલીઓના વિરોધમાં કર્મચારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં શ્રમ કાયદાના સુધારા પરત ખેંચવા, 12 કલાકના કામના નિર્ણયને રદ કરવો, LIC ના ખાનગીકરણની પ્રક્રિયા રોકવી અને નિવૃત્ત થતા કર્મચારીઓની જગ્યાએ નવી ભરતી કરવાનો સમાવેશ થાય છે.
દાહોદ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ગ્રીવન્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકર બહેનોના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનોના ગ્રેજ્યુઈટીના પડતર કેસો, આધાર કાર્ડ સંબંધિત મુશ્કેલીઓ, પોષણ ટ્રેક એપ્લિકેશનમાં આવતી ટેક્નિકલ સમસ્યાઓ, એમ.એમ.વાય. યોજનાના સ્ટોક સંબંધિત પ્રશ્નો તેમજ બિલોની બાકી ચૂકવણી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે રજૂ થયેલા તમામ પ્રશ્નોનું સાત દિવસની અંદર યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. આ બેઠકમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની શ્રેષ્ઠ કામગીરીને માન્યતા આપવા જિલ્લા તથા તાલુકા સ્તરે સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પગલાથી અન્ય કાર્યકર્તાઓને પણ પ્રેરણા મળશે અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના આરોગ્ય અને પોષણ સુધારવા માટે વધુ ઉત્સાહથી કામગીરી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણ દ્વારા ‘જમશે દાહોદ, ભણશે દાહોદ, રમશે દાહોદ’ અભિયાન અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના દૈનિક અભ્યાસક્રમ અનુસાર થીમ આધારિત વિડિયો તૈયાર કરી સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરવાની સૂચના આપવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રો દૈનિક છ કલાક નિયમિત રીતે ચાલુ રહે અને સમયપત્રક મુજબ પ્રવૃત્તિઓ અમલમાં આવે તે માટે ‘સુપોષિત દાહોદ’ પોર્ટલ પર દરરોજ એન્ટ્રી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. સાથે જ આઇસીડીએસ યોજનાઓ હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓનું નોંધણી કવરેજ વધે તે સુનિશ્ચિત કરવા સી.ડી.પી.ઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણ સહિત જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ હાજર રહ્યા હતા.
પાટણ ટ્રાન્સપોર્ટમાંથી 49 કિલો લેબલ વગરનું ઘી ઝડપાયું:ખાદ્ય અને ઔષધ તંત્રએ નમૂના લઈ સીઝ કર્યું
પાટણ શહેરમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પાટણ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાંથી 49 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ આ જથ્થો સીઝ કરી તેના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે. ટ્રાન્સપોર્ટના માલિક પરેશભાઈ મોદીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જથ્થો અરબાઝખાન હનીફભાઇ શેખ દ્વારા પરિવહન માટે આપવામાં આવ્યો હતો. સ્થળ પરથી 5 કિલોના ટીનના કુલ 10 ડબ્બા મળી આવ્યા હતા, જેના પર કોઈ લેબલિંગ નહોતું. આ ઉપરાંત, જથ્થાના પરિવહન માટે જરૂરી કોઈ બિલ કે ઇન્વોઇસ રજૂ કરવામાં આવ્યા નહોતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે સંકળાયેલા પક્ષ પાસે ખાદ્ય વ્યવસાય માટેનું અનિવાર્ય FSSAI લાઇસન્સ પણ ઉપલબ્ધ નહોતું. નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા અંદાજે 49 કિલો ઘીનો જથ્થો, જેની અંદાજિત કિંમત 34,300 રૂપિયા છે, તેને સીઝ કરવામાં આવ્યો છે. સ્થળ પર હાજર અરબાઝખાન હનીફભાઇ શેખ પાસેથી ઘીનો નમૂનો લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી અપાયો છે. લેબોરેટરીનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને માન્ય લાઇસન્સ, યોગ્ય લેબલિંગ અને જરૂરી દસ્તાવેજો સાથે જ ખાદ્ય પદાર્થોનો વ્યવસાય અને પરિવહન કરવા સૂચના અપાઈ છે.
ભરુચના ગુમ સ્પા સંચાલકની હત્યા!:વાગરા નજીક હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ મળ્યાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો મેળવી ઓળખ પ્રક્રિયા હાથ ધરી હતી. કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતોતપાસ દરમિયાન મૃતક યુવાન ભરૂચ શહેરમાં સ્પા વ્યવસાય સાથે સંકળાયેલ અને ઝાડેશ્વર વિસ્તારમાં રહેતો કૃણાલ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો અને તેના ગુમ થવા અંગે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ગળે ટુંપો આપી હત્યા કરી હોવાની આશંકાપ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા શખ્સોએ કૃણાલ પટેલના હાથ-પગ બાંધી ગળે ટુંપો આપી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હત્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા પોલીસ સૂત્રોએ દર્શાવી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરીવાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનું ચોક્કસ કારણ, સંડોવાયેલા શખ્સો અને સમગ્ર ઘટનાક્રમ બહાર લાવવા પોલીસે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે.
દેશના મોટા બેંક સંગઠનો ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI)એ આવતીકાલે ભારતબંધની જાહેરાત કરી હતી. આજે વડોદરા શહેરમાં પણ આ યુનિયનો હડતાળ પર છે. શહેરના મુજમહુડા ખાતે આવેલી બેંક ઓફ બરોડા બહાર બેંક કર્મચારીઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો હતો અને બંધ પાળ્યો હતો. જોકે, SBI આ હડતાળમાં જોડાઈ નથી, પરંતુ બહારથી સપોર્ટ જાહેર કર્યો છે. બેંક ઓફ બરોડા બહાર સૂત્રોચ્ચારમુજમહુડા ખાતે આવેલી બેંક ઓફ બરોડા બહાર બેંક કર્મચારીઓએ ભેગા થઈને વિરોધ કર્યો હતો અને ‘ગવર્મેન્ટ કી હિટલરશાહી, નહીં ચલેગી, નહીં ચલેગી’, ‘લેબર કોડ વાપસ લેના હોગા’ જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આજે વડોદરામાં રેલવે સહિત અન્ય કેટલાક યુનિયનપણ હડતાલ પર છે. ચાર નવા લેબર કોડ કર્મચારીઓના હિતમાં નથીઃ ડી. એલ. વ્યાસલોકલ બેંક એમ્પ્લોઈઝ કો-ઓર્ડિનેશન કમિટીના જનરલ સેક્રેટરી ડી. એલ. વ્યાસે જણાવ્યું હતું કે, દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો (BMS સિવાય) દ્વારા આજે 'ભારત બંધ'નું એલાન આપવામાં આવ્યું છે. બેંકિંગ ઉદ્યોગના ત્રણ મુખ્ય સંગઠનો AIBEA, AIBOA અને BEFIએ પણ આ હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. લેબર કોડ પાછા ખેંચવાની અમારી માંગણી છે. સરકારે તાજેતરમાં જે ચાર નવા લેબર કોડ દાખલ કર્યા છે તે કર્મચારીઓના હિતમાં નથી. આનાથી માલિકોને 'હાયર એન્ડ ફાયર' (ગમે ત્યારે નોકરીએ રાખવા અને છૂટા કરવા)ની નીતિ મળી જશે. ‘સરકાર કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપી રહી છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નવા નિયમોથી મેનેજમેન્ટને કામના કલાકો વધારવાની સત્તા મળી જશે. સરકાર એક વર્ષ પછી ગ્રેચ્યુઈટી આપવાની વાત કરીને આડકતરી રીતે કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપી રહી છે. ખરેખર તો ગ્રેચ્યુઈટી નિવૃત્તિ સમયે મળવી જોઈએ. અત્યારે દેશના યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અમારી માગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથાને બદલે કાયમી નોકરીઓ હોવી જોઈએ. ‘પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો આજે બંધ’તેઓએ કહ્યું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સિવાયની લગભગ તમામ પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો આજે બંધ છે. સ્ટેટ બેંકની કામગીરી ચાલુ છે, પરંતુ બાકીની મોટાભાગની બેંકોના કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે. બેન્કિંગ સેક્ટરમાં '5-ડે વર્ક વીક' લાગુ કરવાની પણ માગઉલ્લેખનીય છે કે, હડતાળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારના 4 નવા લેબર કોડ છે. યુનિયનોનું કહેવું છે કે, આ કોડ 29 જૂના શ્રમ કાયદાઓનું સ્થાન લેશે, જેનાથી કર્મચારીઓના અધિકારોમાં ઘટાડો થશે અને ટ્રેડ યુનિયનોનું રજીસ્ટ્રેશન કરાવવું મુશ્કેલ બનશે. આ સાથે જ કર્મચારીઓ લાંબા સમયથી બેન્કિંગ સેક્ટરમાં '5-ડે વર્ક વીક' (અઠવાડિયામાં 5 દિવસ કામ) લાગુ કરવાની માગ કરી રહ્યા છે. યુનિયનોનો તર્ક છે કે કામના વધતા દબાણને કારણે કર્મચારીઓનું 'વર્ક-લાઇફ બેલેન્સ' બગડી રહ્યું છે. હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જેને કર્મચારીઓ દર શનિવારે લાગુ કરવાની માગ કરી રહ્યા છે.
ખાવડામાં આતંક મચાવનાર વાંદરો પકડાયો:વન વિભાગે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યો
પોરબંદરના માધવપુર નજીક આવેલા ખાવડા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવનાર એક તોફાની વાંદરાને વન વિભાગે પાંજરે પૂર્યો છે. આ વાંદરાના ત્રાસથી સ્થાનિક લોકો ભયભીત હતા. મળતી માહિતી મુજબ, આ વાંદરો અચાનક લોકોની પાછળ દોડતો, ઘરોમાં ઘૂસી જતો અને ઘરવખરીને નુકસાન પહોંચાડતો હતો. તેના હુમલાખોર વલણને કારણે ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભારે ડરનો માહોલ હતો. વાંદરાનો ત્રાસ અસહ્ય બનતા સ્થાનિક રહીશોએ પોરબંદર વન વિભાગનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતા જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગના કર્મચારીઓ માધવપુર સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી વાંદરાને પકડી પાડ્યો હતો. વાંદરો પકડાઈ જતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. પકડાયેલા વાંદરાને હાલ સુરક્ષિત રીતે પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેને વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
દિલ્હીમાં અમદાવાદ ઓલિમ્પિક 2036 માટે ચર્ચા:હર્ષ સંઘવી આજે અમિત શાહ સાથે બેઠક કરશે
અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સના આયોજનને લઈને સરકાર સ્તરે તૈયારીઓ તેજ બની છે. આ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે (12 ફેબ્રુઆરી) દિલ્હીની મુલાકાતે જશે. દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, જેમાં ઓલિમ્પિક આયોજન માટેની વ્યૂહરચના અને આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થવાની છે. ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વાતચીતસૂત્રો અનુસાર, બેઠકમાં ખાસ કરીને ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ થશે. રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્ટેડિયમ, ટ્રેનિંગ સેન્ટર, એથ્લીટ વિલેજ અને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વિકસાવવા માટેના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા પ્રયત્નોઅમદાવાદ ખાતે બની રહેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના નિર્માણની પ્રગતિ પણ બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડા રહેશે. વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સુવિધાઓ ઉભી કરીને અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બેઠક બાદ આગામી રણનીતી નક્કી થશેરાજ્ય સરકાર 2036 ઓલિમ્પિક ગેમ્સના સંભવિત આયોજનને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની યોજના બનાવી રહી છે. દિલ્હી બેઠક બાદ આગામી દિવસોમાં વધુ ગતિ સાથે તૈયારીઓ આગળ વધે તેવી શક્યતા છે.
બળેજ નજીક કારે બાઈકને અડફેટે લીધી:ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું મોત
બળેજ ગામ નજીક ગોકુલ ડેરી પાસે એક માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે. પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. માધવપુર પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક બળેજ ગામના ગલાભાઈ મૂળુભાઈ ઉલવા હતા. તેઓ પોતાની બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોકુલ ડેરી નજીક એક ફોરવ્હીલ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ગલાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા માધવપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ, પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મામાકોઠા રોડ પર દાંતીયાવાળી શેરી નજીકથી આનંદનગરના એક શખસને ડયુક સ્કૂટર સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખસ પાસેથી અંદાજિત રૂપિયા 22,450ની કિંમતનો 449 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ત્રણ દિવસ પહેલા સુરતના અશ્વિનીકુમાર રોડ પરથી ગાંજો લાવી ભાવનગર પહોંચાડ્યાની કબૂલાત આપી છે. નોંધનીય છે કે, આરોપી સામે અગાઉ પણ ઘોઘારોડ અને પાલીતાણા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસ કરતા સૂકો ગાંજો મળી આવ્યોઆ અંગે એસઓજી કચેરીથી મળતી માહિતી મુજબ સ્પેશિયલ ઓપરેશન ગૃપને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર દાંતિયાવાળી શેરી પાસેથી યુટ સ્કુટર નંબર GJ.04.DH- 9148 સાથે નીકળેલા યાસીન અબ્દુલરહેમાનભાઈ પઠાણ (ઉં.વ 65, રહે. ભાવનગર)ને અટકાવી તેની તપાસ કરી હતી. આ સમયે તેના કબજામાંથી રૂ.22.450નો સૂકો ગાંજો, જેનું વજન 449 ગ્રામ મળી આવતા એસઓજી પોલીસે સ્કુટર, ગાંજો, બે મોબાઈલ મળી કુલ રૂ. 74,450નો મુદામાલ કબજે કરી અટકાયત કરી હતી. આરોપીએ પોલીસ સામે કબૂલાતઆરોપીની પૂછપરછ કરતા આ ગાંજો ત્રણ દિવસ પુર્વે સુરતના અશ્વિનીકુમાર રોડ પરથી એક અજાણ્યા શખસ પાસેથી મેળવી ભાવનગર લઈ આવ્યાની કબૂલાત આપી હતી. બનાવના પગલે યાસીન અબ્દુલરહેમાનભાઈ પઠાણ સામે NDPS. એકટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી SOGના એ.એસ.આઈ. જયરાજસિંહ જાડેજા દ્વારા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. ગાંજા સાથે ઝડપાયેલા શખસ સામે અગાઉ ઘોઘારોડ પોલીસ મથક અને પાલીતાણા પોલીસ મથકમાં અલગ-અલગ એનડીપીએસ એક્ટ હેઠળ ગુના દાખલ થયા હોવાનું એસઓજી કચેરીથી જાણવા મળ્યુ હતું.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામના એક વૃદ્ધનું વસાઈ ગામે શિવ શક્તિ હોટેલ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. ભત્રીજા-ભત્રીજીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા વૃદ્ધને પૂરઝડપે આવતી વરના કારે ટક્કર મારતા તેઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. આ મામલે વસાઈ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી કારચાલક સ્થળેથી ફરારનાગવાસણ ગામના વતની ઠાકોર હીરાજી બાબુજી પોતાના કાકાનું બાઈક GJ 02 CB 7028 લઈને વડસ્મા ગામે જઈ રહ્યા હતા. જ્યાં ગઈકાલે સવારના દસેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ વસાઈ પાસે આવેલી શિવ-શક્તિ હોટેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી લાલ કલરની વરના ગાડી GJ 02 EA 0115ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, હીરાજી ઠાકોરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કારચાલક પોતાની ગાડી મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. કારચાલકની બેદરકારીથી ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયોમૃતકના પુત્ર મુકેશજી ઠાકોરને આ અંગે જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડસ્મા પાસે આવેલા શંકરપુરા ગામે તેમના કાકાના દીકરા-દીકરીના આગામી 13 અને 14 તારીખે લગ્ન હોવાથી પિતા ત્યાં રોકાવવા માટે જઈ રહ્યા હતા. જોકે ખુશીના પ્રસંગ પહેલા જ આ અકસ્માતે પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. વસાઈ પોલીસે મુકેશજીની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે ગાડી હંકારી અકસ્માત સર્જવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
સુરતમાં માથાભારે છાપ ધરાવતા અને 'તાલીબાની' અત્યાચાર ગુજારવા માટે જાણીતા ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકાવી તેને ફસાવવાના ષડયંત્ર બાદ હવે તેની સામે ચોક બજાર પોલીસ મથકમાં વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. વેડ રોડ પર રહેતા જમીન દલાલ જિજ્ઞેશ મગનભાઈ વ્યાસનું અપહરણ કરી, તેમની પાસે 2 લાખની ખંડણી માંગી 50 હજાર પડાવી લેવા બદલ ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ સુરત પોલીસે હવે આખા ગોટી પરિવાર અને તેમના ગુનાહિત નેટવર્ક પર તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે. શ્યામ લુબ્રિકન્ટ ઓઈલ કંપનીના 107 કરોડના ટર્નઓવર પાછળનું કાળું સત્યતપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચિરાગ ગોટી 'શ્યામ લુબ્રિકન્ટ્સ' નામની કંપની ચલાવે છે, જેનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 107 કરોડ રૂપિયા જેટલું છે. જોકે, પોલીસનો આરોપ છે કે આ ઓઈલ કંપની માત્ર એક મહોરું છે. આ કંપનીની આડમાં ચિરાગ મિલકત વિવાદો ઉકેલવા, વ્યાપારી લેવડદેવડમાં દબાણ ઉભું કરવા અને લોકોના પ્લોટ હડપવા જેવા ગુનાહિત કામો કરતો હતો. છેલ્લા આઠ મહિનાથી આ કંપની બંધ હાલતમાં હતી કારણ કે ચિરાગ ફરાર હતો. હવે તપાસ એજન્સીઓ આ કંપનીના તમામ નાણાકીય વ્યવહારો અને હિસાબોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હથિયારો સાથેના ફોટા વાઇરલચિરાગ ગોટીને હથિયારોનો ખૂબ શોખ હોવાનું તેના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી જણાય છે. તેના અનેક ફોટા વાઇરલ થયા છે જેમાં તે હાથમાં પિસ્તોલ રાખીને પોઝ આપતો જોવા મળે છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) આ હથિયારોની તપાસ કરી રહી છે. જોકે, પોલીસની કડક પૂછપરછમાં ચિરાગે એવો દાવો કર્યો હતો કે આ માત્ર 'એરગન' હતી. ગણપતિ ઉત્સવ દરમિયાન પણ તેના ઘર પાસે હવામાં ફાયરિંગ કરતો એક વીડિયો વાઇરલ થયો હતો, જેને લઈને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. ભાજપના ખેસમાં વાઇરલ થયેલા ફોટાચિરાગ ગોટીની ધરપકડ બાદ સુરતમાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓએ ચિરાગના ફોટા વાઇરલ કર્યા છે જેમાં તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને ભાજપના ખેસમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કતારગામના ધારાસભ્ય વિનું મોરડીયા સાથેના ફોટો વિપક્ષ દ્વારા વાઇરલ કરાયા છે. વિપક્ષનો આરોપ છે કે ચિરાગ આવા રાજકીય સંબંધોના જોરે જ અત્યાર સુધી બચતો આવ્યો હતો. જોકે, પોલીસ કમિશનરની કડક સૂચના બાદ હવે કોઈ પણ રાજકીય પીઠબળ તેને બચાવી શકે તેમ લાગતું નથી. પોતાના જ કર્મચારીઓ પર પાશવી અત્યાચારચિરાગ ગોટીની ક્રૂરતાની પરાકાષ્ઠા તેના જ કર્મચારીઓ સાથેના વર્તનમાં જોવા મળી છે. બીલીમોરાના ધોલાઈ બંદરે તેની ઓફિસમાં કામ કરતા પાર્થ મિયાણી પર 11 હજારની હેરાફેરીનો આરોપ લગાવી તેને ડંડા વડે બેરહેમ માર માર્યો હતો. અન્ય એક કિસ્સામાં, ટેન્કર ડ્રાઈવર પર ઓઈલ ચોરીનો આરોપ લગાવી તેને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. નવાઈની વાત એ છે કે ચિરાગે પોતે જ આ અત્યાચારના વીડિયો ઉતાર્યા હતા અને તેને વાઇરલ કરી પાશવી આનંદ લીધો હતો. આ વીડિયો હવે પોલીસ માટે સૌથી મોટો પુરાવો સાબિત થયા છે. ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાનું ખતરનાક કાવતરુંઆ આખા પ્રકરણની શરૂઆત અંદાજે 10 મહિના પહેલા થઈ હતી જ્યારે અલ્પેશ મિયાણી નામના વેપારીની કારમાંથી 78 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય ડ્રગ્સ કેસ લાગતો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંતે પોતાના જ ભાગીદાર અલ્પેશને રસ્તામાંથી હટાવવા માટે તેની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યું હતું. આ કેસની તપાસ જ્યારે ACP ઝવેરભાઈ દેસાઈને સોંપવામાં આવી ત્યારે આખા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. નેપાળ ભાગી ગયો, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શરણાગતિજ્યારે પોલીસનો સકંજો કસાયો ત્યારે ચિરાગ ગોટી લાંબો સમય ફરાર રહ્યો હતો. તે ધરપકડથી બચવા માટે નેપાળ ભાગી ગયો હોવાની પણ ચર્ચા હતી. તેણે આગોતરા જામીન મેળવવા માટે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે તેને રાહત આપવાનો ઇનકાર કરતા અને પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપતા આખરે તે શરણે આવ્યો હતો. જમીન દલાલ જિજ્ઞેશ વ્યાસનું વેડ રોડ પરથી અપહરણ કર્યું હતુંચોક બજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ 15 ઓક્ટોબર 2021ના રોજ ચિરાગ અને તેની ટોળકીએ જમીન દલાલ જિજ્ઞેશ વ્યાસનું વેડ રોડ પરથી અપહરણ કર્યું હતું. તેમને જબરદસ્તી ચિરાગના ઘરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની પાસે ધંધો કરવાના બહાને 50 હજાર રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા અને દર મહિને 2 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન પણ જિજ્ઞેશભાઈને ઢોર માર મારી તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. વિવિધ ગુનાઓની તપાસ અલગ-અલગ એજન્સીઓ કરી રહી છેહાલમાં ચિરાગ ગોટી પોલીસ કસ્ટડીમાં છે. તેની સામે નોંધાયેલા વિવિધ ગુનાઓની તપાસ અલગ-અલગ એજન્સીઓ કરી રહી છે. હથિયારના કેસમાં SOG તપાસ કરી રહી છે, જ્યારે ખંડણી અને અપહરણના કેસમાં ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ચિરાગના આ કાળા કારનામામાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે અને તેણે અત્યાર સુધી કેટલા લોકોની મિલકતો પર કબજો જમાવ્યો છે.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ગૌમાસનું વેચાણ તેમજ દારૂનું વેચાણ કરનાર અને માથાભારે શખસોને પાસા હેઠળ ધકેલી દીધા છે. ક્રાઇમ બ્રાન્ચે કાયદાના સકંજામાં આવેલા આવા શખસોની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે દરખાસ્તો પર જિલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરી મળતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી પાંચ શખસોની પાસા વોરન્ટ હેઠળ ધરપકડ કરી તેમને ભુજ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. માથાભારે શખસો વિરુદ્ધ કાર્યવાહીભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ ગૌ માંસ રાખી વેચાણ કરનાર તથા ઈગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ શખસોને તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તેમજ માથાભારે શખસો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનાં હેતુથી તેઓની પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી હતી, જે દરખાસ્તો જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગરને મોક્લી આપવામાં આવી હતી. આરોપીઓને જેલમાં મોકલાયાદરખાસ્ત અંગે જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા દરખાસ્ત વંચાણે લઈ માન્ય રાખી તમામ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા લોકલ ક્રાઈમ બ્રાંચે પાસા વોરંટની બજવણી કરી ગૌ માંસ રાખી વેચાણ કરનાર ઈરફાન ઉર્ફે ઈનો કાસમભાઈ લાખાણી (ઉ.વ-37) રહે.ભાવનગરને ખાસ જેલ ભુજ, પ્રોહિ. બુટલેગર્સ હર્ષિલ ઉર્ફે ભુરો ઉર્ફે ગલ્લો અરવિંદભાઈ દવે (ઉ.વ.25) રહે. ભાવનગરને મધ્યસ્થ જેલ, સાબરમતી અમદાવાદ, હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઈ બારૈયા રહે ભાવનગરને મધ્યસ્થ જેલ વડોદરા, મેહુલ પરશોત્તમભાઈ બારૈયા (ઉ.વ.28) રહે. સોનગઢ તા.શિહોરને મધ્યસ્થ જેલ લાજપોર, સુરત અને માથાભારે શખસ સંજય ઉર્ફે ગણીયો દેવરાજભાઈ ગોહેલ (ઉ.વ.20) રહે. ભાવનગરને મધ્યસ્થ જેલ, રાજકોટ મોકલી આપવામાં આવ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે, ત્યારે સુરત જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે કમર કસી છે. સુરત ડી.ઈ.ઓ. ભગીરથસિંહ ગઢવીએ પરીક્ષા લક્ષી નવી ગાઈડલાઈન અને કડક પગલાંઓની જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે, ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. CCTVના મોનિટરિંગ માટે 7 ટીમો બનાવાઈઃ DEO ડી.ઈ.ઓ. ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, સુરતની અંદર ધોરણ 10માં 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે જ ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 45,000થી વધુ, વિજ્ઞાન પ્રવાહમાં 17,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ કુલ મળી 1,61,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 5653 જેટલા વર્ગખંડોમાં સમગ્ર સીસીટીવી હેઠળ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. આ સીસીટીવીના મોનિટરિંગ માટે સાત ટીમો પણ બનાવવામાં આવી છે. પરીક્ષા એ વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે અને તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં. ટ્રાઇબલ વિસ્તારમાં પરીક્ષાર્થીઓ માટે બસની સુવિધા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલી ન પડે તે માટે ટ્રાવેલિંગ માટે સિટી વિસ્તારમાં સિટી બસો ગ્રામ્ય વિસ્તારોમાંથી જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિસ્તારમાં બિરસા મુંડા એક્સપ્રેસ બસનો પણ ખાસ સુવિધા વિદ્યાર્થીઓ માટે ઊભી કરવામાં આવી છે. ટ્રાઇબલ એરિયા માટે 'બિરસા મુંડા એક્સપ્રેસ'નો પ્રારંભસુરત અને આસપાસના ટ્રાઇબલ (આદિવાસી) વિસ્તારોના મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા આ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધારવા માટે 'બિરસા મુંડા એક્સપ્રેસ' બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. કુલ 14 જેટલી નવી બસો ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં દોડાવવામાં આવશે. આ બસોને કારણે અંતરિયાળ વિસ્તારના લોકો માટે અવરજવર સરળ બનશે.
વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે
AI Image
વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવક વિજય નટુભાઈ પરમારે રાત્રિના સમયે ઘરેથી નીકળી જઈને ગામ નજીકના ખેતરમાં રાયણના ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બીજા દિવસે સવારે તેની માતા ખેતરમાં જતી વખતે પુત્રને ઝાડ પર લટકતી હાલતમાં જોઈને ચોંકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર, વિજય પરમાર છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને પોતાની મરજી મુજબ જીવન જીવવાની ટેવ ધરાવતો હતો. તેને મોંઘા મોબાઈલનો શોખ હતો અને તાજેતરમાં જ તેણે મોંઘા ભાવનો આઈફોન ખરીદ્યો હતો. પરંતુ કામ-ધંધામાં ધ્યાન ન આપવા અને પોતાની મરજી પ્રમાણે વર્તવાના કારણે પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી આઘાત પામેલો વિજય રાત્રે કોઈને કંઈ કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. મોડી રાત સુધી ઘરે ન પરત ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી અને મિત્રો તથા સંભવિત સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. બીજા દિવસે સવારે માતા ખેતરમાં ચારો લેવા ગઈ ત્યારે ખેતરના છેડે આવેલા રાયણના ઝાડ પર પુત્ર વિજયને દોરડા વડે ગળે ફાંસો ખાઈને લટકતો જોયો હતો. આ દૃશ્ય જોતાં જ માતા ચોંકી ઉઠી અને તરત જ પરિવારજનો તથા ગામના લોકોને જાણ કરી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા લોકોએ જવાહરનગર પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહની તપાસ કરી તેના ખિસ્સામાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે લીધો હતો. આ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાએ આખા ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લામાં 2.38 લાખ હેક્ટરમાં રવિ પાક વાવેતર:તમાકુના વાવેતરમાં વધારો, ચણાનું પણ બમ્પર વાવેતર
પાટણ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા 2,38,580 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે તમાકુના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે ચણાનું પણ મોટા પાયે વાવેતર થયું છે. ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોને અપેક્ષિત ઉત્પાદન મળ્યું ન હતું. તેથી, રવિ સિઝનમાં સારા ઉત્પાદનની આશા રાખવામાં આવી રહી છે. જિલ્લામાં ઘઉં, ચણા, રાઈ, જીરું, ધાણા, લસણ, સુવા, ઈસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાકા, શાકભાજી, ઘાસચારો, મેથી, અજમો અને ગાજર જેવા વિવિધ રવિ પાકોનું વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર સાંતલપુર તાલુકામાં 43,712 હેક્ટરમાં નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું સિદ્ધપુર તાલુકામાં 14,995 હેક્ટરમાં થયું છે. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી તમાકુનું વાવેતર વધી રહ્યું છે. આ પાકમાં રોગ-જીવાતની શક્યતાઓ ઓછી હોય છે અને જંગલી પ્રાણીઓ પણ તેને નુકસાન પહોંચાડતા નથી. આ ઉપરાંત, તમાકુ એક રોકડિયો પાક હોવાથી ખેડૂતોને વેચાણ બાદ તાત્કાલિક રોકડ મળે છે. ગત વર્ષે જિલ્લામાં 7,967 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષે વધીને 9,235 હેક્ટર થયું છે. આમ, ગત વર્ષની સરખામણીમાં 1,268 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર વધ્યું છે. સરકાર દ્વારા તમાકુ ઉત્પાદનો પર વધારવામાં આવતા ટેક્સને કારણે પણ તમાકુના ભાવમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે, જે ખેડૂતોને આ પાક તરફ વધુ આકર્ષે છે. રવિ સિઝનમાં ચણાનું વાવેતર પણ પાટણ જિલ્લામાં મોટા પાયે થાય છે. ચાલુ વર્ષે ખેડૂતોએ 62,275 હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કર્યું છે. જેમાં ચાણસ્મામાં 50 હેક્ટર, હારીજમાં 4,040 હેક્ટર, રાધનપુરમાં 5,100 હેક્ટર, સમીમાં 35,090 હેક્ટર, સાંતલપુરમાં 1,800 હેક્ટર અને શંખેશ્વરમાં 16,195 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે. ખેડૂતોને ચણાના વાવેતરમાં સારા ભાવ અને ઉત્પાદન મળવાની આશા છે. કયા પાકનું કેટલુ વાવેતર થયું ? (હેકટરમાં)
સગાઈ તોડી એટલે કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર મારી મોઢું છૂંદી નાખ્યું. હત્યા બાદ મૃતક સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે તમારી દીકરીને પતાવી દીધી છે અને હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી રહ્યો છું. આ ખતરનાક ઘટના ગઈકાલે (11 ફેબ્રુઆરી) રાત્રે અમદાવાદમાં કાંકરિયાના ગેટ નંબર 7 પાસે બની. હાલ તો સમગ્ર મામલે મણિનગર પોલીસે હત્યા કરનાર હેવાન મહમંદ આવેઝ પઠાણની ધરપકડ કરી લીધી છે. કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર માથામાં મારીને હત્યા કરીગોમતીપુરમાં રહેતી 17 વર્ષની સગીરાની મહમંદ આવેઝ પઠાણ નામના યુવક સાથે સગાઈ થઈ હતી. 11 જાન્યુઆરી રાતના સમયે સગીરા અને આવેઝ રાતના 10:30 વાગ્યાની આસપાસ કાંકરિયા ગેટ નંબર 7 પાસે મળ્યા હતા. આવેઝને કેટલાક સમયથી સગીરા પર શંકા હતી, જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આવેઝે ગુસ્સામાં કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર મારીને હત્યા કરી હતી. હત્યા બાદ મંગેતર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયોપોતાની મંગેતરની હત્યા કર્યા બાદ આરોપી આવેઝ સામેથી મણિનગર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. મણિનગર પોલીસને બનાવની જાણ થતા ડીસીપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બનાવની જગ્યા કોર્ડન કરીને સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. યુવકને સગીરા પર શંકા હતીઆ મામલે ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, યુવકે સગીરાને પથ્થર મારીને હત્યા કરી છે. યુવકને સગીરા પર શંકા હતી અને તેના જ કારણે હત્યા કરી હોવાની પ્રાથમિક વિગત મળી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે. 2 દિવસ પહેલાં જ સગાઈ તોડી હતી:મૃતકનો ભાઈમૃતક સગીરાના ભાઈએ જણાવ્યું હતું કે, આરોપી આવેઝ મારી બહેનને અવારનવાર ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. અમે 2 દિવસ અગાઉ જ સગાઈ તોડી નાખી હતી. અમે સગાઈ તોડી ત્યારે જ અમને ધમકી આપી હતી કે મારી બહેનને ઘરમાં આવીને મારી નાખશે. આજે મારી બહેનનું મોઢું ઓળખાય નહીં, તે રીતે મોઢા પર પથ્થર મારીને હત્યા કરી દીધી છે. સગાઈ તોડી એટલે હત્યા કરી: મૃતકના પિતામૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી દુકાને હતી, ત્યારે વાત કરવાનું કહીને આવેઝ તેની સાથે લઈ ગયો હતો. સાથે લઈ ગયા બાદ હત્યા કરીને મને સામેથી ફોન કરીને કહે છે કે, તમારી દીકરીની હત્યા કરીને હું પોલીસને સરેન્ડર કરી રહ્યો છે. સગાઈ તોડી એટલે હત્યા કરી છે. મારી દીકરીનું મોઢું ઓળખાય તેવું રાખ્યું નથી. અમારી માગ છે કે, હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે.
પાળિયાદમાં વિસામણબાપુની જગ્યા ખાતે સૌરાષ્ટ્ર ઝોન-1નો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ સંપન્ન થયો છે. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બોટાદ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ફેસ્ટિવલ 9 થી 11 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયો હતો. જેમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છ સહિત કુલ છ જિલ્લાના 28 શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા. ફેસ્ટિવલનો પ્રારંભ મહામંડલેશ્વર નિર્મળાબા ઊનડબાપુના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ડાયટ પ્રાચાર્ય દિપકભાઈ ચૌહાણે નિર્મળાબાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે નિર્મળાબા અને મંચસ્થ મહાનુભાવો દ્વારા 28 શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષકોને મોમેન્ટો, પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિર્મળાબાએ રિબિન કાપી ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો હતો અને તમામ સ્ટોલની મુલાકાત લઈ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી અને નવતર વિચારો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ફેસ્ટિવલની મુલાકાત છ જિલ્લાના શિક્ષકો, સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ લીધી હતી. મુલાકાતીઓએ આ ઇનોવેશન ફેસ્ટિવલ દ્વારા જ્ઞાન મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. રાત્રિ દરમિયાન વિહળધામના પ્રેરક સંચાલક ભયલુબાપુએ ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન દરરોજ ત્રણ વખત ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પરિસરની સ્વચ્છતા તથા સુઘડતા જાળવવામાં આવી હતી. આ ત્રણ દિવસીય ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના સફળ આયોજનમાં ડાયટ પ્રાચાર્ય દિપકભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ બોટાદની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રવીણભાઈ ખાચરે સ્ટેજ સંચાલન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે મુકેશભાઈ પઢિયાર, વિજયભાઈ વાળા અને ધવલભાઈ પીપાવતે ઉત્તમ કામગીરી કરી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે અગત્યની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જેમાં કારેલીબાગ LT સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધીનો રસ્તા પર નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીના કારણે બંધ રહેશે. આ માર્ગ પર આગામી 21 ફેબ્રુઆરીથી કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ રસ્તા પર ટ્રાફિક માટે 'વન-વે' (એકમાર્ગીય) વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે રસ્તાની બાજુમાં આવેલી ખાણી-પીણીની લારીઓ કે સ્ટોલ્સ પાસે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પાર્ક કરવા પર સખત પ્રતિબંધ છે. સાથે અહીંયા કામગીરી ચાલતી હોવાથી ઊંડી કામગીરી અને ભારે મશીનરીના ઉપયોગને કારણે અકસ્માત થવાનો ભય હોવાથી, જાહેર જનતાને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા ગોત્રી રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્સથી હરિનગર બ્રિજ જંક્શન સુધીનો મુખ્ય રસ્તો કામગીરીના કારણે બંધ રહેશે. અહીં નવી ડ્રેનેજ લાઈન માટે ભારે મશીનરી, મટીરીયલ અને શ્રમિકોની અવરજવરને કારણે આ માર્ગનો ઉપયોગ જોખમી બની શકે છે. જેથી કામગીરીની જરૂરિયાત મુજબ યશ કોમ્પ્લેક્સથી હરિનગર બ્રિજ નીચેના જંક્શન સુધીના રસ્તાને તબક્કાવાર બંધ રાખવામાં આવશે. વાહનચાલકોએ કેરેજ-વેના બાકીના ભાગ અથવા અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. સાથે કામગીરી વધુ ઊંડાઈએ હોવાથી સુરક્ષાના હેતુથી લોકોને પ્રતિબંધિત જગ્યાએ ન જવા અને તંત્રને સહકાર આપવા વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ધોરણ 10 અને 12 ના 3,74,628 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. જેમાં ધો.10 માં 2,24,787, ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,23,011 અને વિજ્ઞાન પ્રવાહમાં 26830 વિદ્યાર્થીઓ છે. જેમાં એક્સપર્ટના કહેવા પ્રમાણે નવી શિક્ષણ નીતિ અનુસાર 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ મળશે એટલે કે વિદ્યાર્થીઓને એક સવાલ ન આવડતું હોય તો તેના અથવામાં બીજો ઓપ્શન આપવામાં આવશે જેને કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં સરળતા રહેશે. એક્સપર્ટ નિલેશ સેંજલિયાએ જણાવ્યું હતુ કે, આ વખતે બોર્ડની પરીક્ષામાં 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. જેથી 80 માર્કના પેપરમાં 56 માર્કનો સબ્જેક્ટિવ પુછાશે. જ્યારે 24 માર્કનું ઓબ્જેકટીવ પૂછવામાં આવશે. ઓબ્જેકટીવ માં ખાલી જગ્યા, જોડકા જોડો અને એક શબ્દમાં જવાબ આપો તે પ્રકારના સવાલો અથવા MCQ પૂછાય. ટેક્સ્ટ બુક યોગ્ય રીતે કરેલી હોય તો તેઓને 24માંથી 24 માર્ક મળી શકે છે. જ્યારે બી સેક્સન 56 માર્કનું હોય છે. જેમાં કુલ 13 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાંથી કોઈ પણ 9ના જવાબ આપવાના હોય છે. જનરલ ઓપ્શન ની સિસ્ટમ છેલ્લા ત્રણ વર્ષથી એપ્લાય થઈ છે. જેના લીધે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ખૂબ જ સરળતા રહે છે. સેક્શન C માં 3 માર્કવાળા પ્રશ્નો હોય. જેમાં 9 માંથી કોઈ પણ 6 સવાલના જવાબ આપવાના હોય છે. આ ઉપરાંત સેક્શન D માં 4 માર્કવાળા પ્રશ્નો હોય છે. જેમાં 8 પ્રશ્નો પૂછવામાં આવ્યો હોય અને તેમાંથી કોઈ પણ 5 ના જવાબ આપવાના હોય છે. સૌરાષ્ટ્રમાં ધો.10 ના વિદ્યાર્થીઓ જિલ્લો - વિદ્યાર્થીઓ રાજકોટ - 46705ભાવનગર - 37501જૂનાગઢ - 24823સુરેન્દ્રનગર - 20014અમરેલી - 19567ગીર સોમનાથ - 18355જામનગર - 17343મોરબી - 14014બોટાદ - 10082દેવભૂમિ દ્વારકા - 9125પોરબંદર - 7258કુલ - 2,24,787 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ રાજકોટ - 7927ભાવનગર - 6292જૂનાગઢ - 2754જામનગર - 1905મોરબી - 1888અમરેલી - 1635ગીર સોમનાથ - 1484સુરેન્દ્રનગર - 1271બોટાદ - 930પોરબંદર - 413દેવભૂમિ દ્વારકા - 331કુલ - 26830 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જિલ્લો - વિદ્યાર્થીઓ રાજકોટ - 25875ભાવનગર - 18868જૂનાગઢ - 11772સુરેન્દ્રનગર - 10923અમરેલી - 10472ગીર સોમનાથ - 9672જામનગર - 9169મોરબી - 6926બોટાદ - 5542દેવભૂમિ દ્વારકા - 3936પોરબંદર - 3883કુલ - 1,23,011
પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ ઉમટનારી ભીડને ધ્યાનમાં રાખીને, 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી 2026 દરમિયાન 4 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” અનારક્ષિત દૈનિક ટ્રેનો સંચાલિત કરવામાં આવશે. આ ટ્રેનો વિશેષ ભાડા પર ઉપલબ્ધ રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, રાજકોટ-વેરાવળ-રાજકોટ (09513/09514) સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 6:55 કલાકે રાજકોટથી ઉપડી 10:55 કલાકે વેરાવળ પહોંચશે. પરત ફરતી ટ્રેન બપોરે 3:20 વાગ્યે વેરાવળથી નીકળી રાત્રે 8:00 વાગ્યે રાજકોટ પરત ફરશે. આ ટ્રેન કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે. ભાવનગર-વેરાવળ-ભાવનગર (09581/09582) સ્પેશિયલ ટ્રેન સવારે 6:50 વાગ્યે વેરાવળથી ઉપડી બપોરે 2:00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. પરત ફરતી ટ્રેન બપોરે 2:50 વાગ્યે ભાવનગરથી નીકળી રાત્રે 9:35 વાગ્યે વેરાવળ આવશે. આ રૂટ પર જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા અને સિહોર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે. વેરાવળ-ગાંધીગ્રામ-વેરાવળ (09584/09583) સ્પેશિયલ ટ્રેન વહેલી સવારે 4:00 વાગ્યે વેરાવળથી ઉપડી બપોરે 12:00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. પરત ફરતી ટ્રેન બપોરે 1:00 વાગ્યે ગાંધીગ્રામથી નીકળી રાત્રે 9:00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનથી બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા જેવા વિસ્તારોના મુસાફરોને સીધી સુવિધા મળશે. આ ઉપરાંત, વેરાવળ-જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ (09591/09592) ટ્રેન પણ દોડાવવામાં આવશે. આ ટ્રેનથી તાલાળા, સાસણ ગીર અને વિસાવદર જેવા વિસ્તારોના યાત્રાળુઓને વિશેષ લાભ મળશે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને મુસાફરી કરતા પહેલાં સમયપત્રક તપાસવા, રેલવેના નિયમોનું પાલન કરવા અને સ્ટેશન પર સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. પશ્ચિમ રેલવેનો આ પ્રયાસ મહાશિવરાત્રિ મેળા દરમિયાન યાત્રાળુઓની મુસાફરીને વધુ સુવ્યવસ્થિત અને સુખદ બનાવશે.
‘ભારત બંધ’નું એલાન:ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો આજે દેશવ્યાપી હડતાળ પર
ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા આજે દેશવ્યાપી ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. વિવિધ મજૂર સંગઠનો અને સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર દેશભરમાં મોટા પાયે હડતાળ અને વિરોધ પ્રદર્શન યોજાવાના છે. ચાર નવા લેબર કોડ્સ પાછા ખેંચવા માગમાહિતી મુજબ 10થી વધુ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આ બંધમાં જોડાઈ રહી છે. મજૂર સંગઠનોનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નવા શ્રમ કાયદાઓ કામદારોના હકોને નબળા પાડે છે. તેઓ ચાર નવા લેબર કોડ્સ પાછા ખેંચવા, નોકરીની સુરક્ષા વધારવા અને કોન્ટ્રાક્ટ પ્રથા પર નિયંત્રણ લાવવાની માગણી કરી રહ્યા છે. સરકારની કેટલીક નીતિઓ ખેડૂતો માટે નુકસાનકારકખેડૂત સંગઠનો પણ આ બંધને સમર્થન આપી રહ્યા છે. ખેડૂતોની માગમાં ખેતી ઉત્પાદનોને યોગ્ય ભાવ, કૃષિ સંબંધિત નીતિઓમાં સુધારા અને ખેતી ક્ષેત્રે વધતી ખર્ચની સમસ્યાનો ઉકેલ સામેલ છે. સંગઠનોનું કહેવું છે કે સરકારની કેટલીક નીતિઓ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. શાળા-કોલેજોમાં કામગીરી પ્રભાવિત થવાની શક્યતાબંધને કારણે બેંકિંગ સેવાઓ, જાહેર પરિવહન, સરકારી કચેરીઓ અને બજારો પર આંશિક અસર પડી શકે છે. કેટલીક જગ્યાએ શાળા-કોલેજોમાં પણ કામગીરી પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવે છે. ભારત બંધના આ આહ્વાનથી સામાન્ય જનજીવન પરદેશના અનેક શહેરોમાં રેલી, ધરણાં અને પ્રદર્શન યોજવાના છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યું છે. ભારત બંધના આ આહ્વાનથી સામાન્ય જનજીવન પર કેટલો પ્રભાવ પડશે તે અંગે નજરો ટકેલી છે.
ખાસ આયોજન:મહાશિવરાત્રિ નિમિત્તે ભાવનગરથી વેરાવળ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધારાની મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ચાર ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 06.55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી તે જ દિવસે સવારે 10.55 વાગ્યે વેરાવળ પહોંચશે. આ જ રીતે, વાપસીમાં ટ્રેન નં. 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15.20 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 20.00 વાગ્યે રાજકોટ પહોંચશે. ભાવનગર–વેરાવળ–ભાવનગર અનારક્ષિત દૈનિક સ્પેશિયલ વેરાવળથી સવારે 06.50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14.00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.35 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13મીથી 17મી સુધી સંચાલિત રહેશે. વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ વેરાવળથી સવારે 04.00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ ગાંધીગ્રામથી બપોરે 13.00 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર ઠરાવ કરશે. વેરાવળ–જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ તા.13થી 17 સુધી દોડશે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:જેસર તાલુકાના સનાળા ગામ નજીક બાઇક અકસ્માતમાં બેના કરૂણ મોત
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બેના મોત થયા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જેસર તાલુકાના સનાળા અને રાજપરા ગામ વચ્ચે બે મોટર સાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. બે મોટર સાયકલ વચ્ચેની અકસ્માતમાં બે લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સનાળા અને રાજપરા ગામ વચ્ચેના માર્ગ પર બે બાઈક સવારો સામસામે ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈક સવારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તાત્કાલિક બંનેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બે મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોમાં એક વીરપુર ગામના અને જુનાપાદર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સામસામે અથડાયેલા બંને બાઈક સવારોના મોતથી વીરપુર અને જુનાપાદર ગામ સહિત જેસર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જૂથ અથડામણ થઈ:જમીનના ઝઘડામાં બે જૂથ વચ્ચે શસસ્ત્ર અથડામણ
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે નવાગામથી કનીવાવ જવાના રસ્તે ગઈકાલે રાત્રીના જમીનના ઝગડામાં બે જૂથો વચ્ચે તલવાર, ધારિયા, ધોકા-પાઈપ સહિતના જીવલેણ હથિયારો સાથે ધીંગાણું થયું હતું. જેમાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈને બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે 14 શખ્સો નાસી જતા પોલીસે 16 સામે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે સિહોર પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ શિહોર દાદાની વાવ પાસે નવાગામ કનીવાવ જવાના રસ્તે વરતેજ ખાતે રહેતા શૈલેષભાઈ દિપશંગભાઈ મોરી તથા નવાગામ કનીવાવ ગામના નકુમ પરિવારના લખનસિંહ ભુપતસિંહ નકુમ વચ્ચે પ્લોટની જમીન અંગે સામ સામે બોલાચાલી થઇ હતી. આ મામલે કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવેલ. 112 સ્ટાફ પણ હાજર રહેલ દરમિયાન નવાગામ કનીવાવ ગામ તરફ જવાના રેલ્વે ફાટક બાદ નવાગામ કનીવાવ જવાના રસ્તે અમુક લોકો પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સામ સામે મારા મારી કરતા હોવાની બાતમી મળતા પોલીસ 112 મોબાઇલ ગાડીમા બેસી ઘટના સ્થળે પહોંચી હતી. રેલ્વે ફાટક ક્રોસ કરી નવાગામ કનીવાવ ગામ તરફ જવાના રસ્તે પહોંચતા સ્થળ પર બે જુથના લોકો સામ સામે પોતાના હાથમાં તલવાર, ધારીયા, તથા લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે મારા મારી કરતા હોય અને મોટે મોટેથી બિભત્સ ગાળા ગાળી કરી ત્યા સ્થળ પડેલ ફોર વ્હીલ ગાડીઓના કાચ તોડી નુકસાન કરી રહ્યા હતા. પોલીસની ગાડીના સાયરન વગાડતા તમામ લોકો ભાગવા લાગેલા જે પૈકીના શૈલેષભાઈ દિપશંગભાઈ મોરી (રહે. વરતેજ) અને લખનસિંહ ભુપતસિંહ નકુમ (રહે. નવાગામ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પર ત્રણ ફોર વ્હીલ ગાડી પડેલ હોય જેમાં GJ-04-DN-9278 નંબરની સ્વીફટ ટુકડો ગાડી, GJ-05-JE-4239 નંબરની વેગન આર તેમજ UP-92-A K-9767 નંબરની સ્વીફટ ડિઝાયર ગાડીઓ પડેલ હોય. જેના કાચ તોડી આશરે એક લાખ રૂપિયાનું નુકસાન કરેલ હતુ. આ બનાવ અંગે તમામ સામે ગુજરાત પોલીસ એકટ મુજબનો ગુન્હો નોંધી વધુ સિહોર પોલીસે તપાસ હાથ ધરી ફરાર શખ્સોને જડપવા ચક્રોગતિમાન કર્યા છે. તમામ આરોપી સામે સિહોર પોલીસ ફરિયાદી બનીભાવનગર શહેર જિલ્લામાં અસમાજીક તત્વો વિરૂદ્ધ ભાવનગર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે કનીવાવ ગામ નજીક થયેલી જૂથ અથડામણ માં પણ સિહોર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી, તમામ આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી થાય તેને લઇને સિહોર પોલીસ ખુદ ફરિયાદી બની, આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સિદ્ધિ:રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં વિશ્રાંતિ પરમારને સિલ્વર મેડલ
રાજપીપળા ખાતે રમાઇ ગયેલી રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ભાવનગરની ખેલાડીઓએ સમગ્ર રાજ્યમાં દ્વિતિય ક્રમાંક હાંસલ કરી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે અન્ય હરિફાઇમાં પણ તેઓને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર ખાતે યોજાયેલ આ જીમ્નાસ્ટીક સ્પર્ધામાંમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થીની પરમાર વિશ્રાંતિ કલ્પેશભાઈ એ ભાગ લીધો હતો. પરમાર વિશ્રાંતિએ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અને રાજ્યકક્ષાની જીમ્નાસ્ટીક સ્પર્ધા માટે પસંદગી પામી હતી. વિશ્રાંતિએ ભાવનગર જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષા માટે પસંદગી પામી હતી. રાજપીપળા ખાતે રાજ્ય કક્ષાની જીમ્નાસ્ટીક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 52થી વધુ વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં તેઓએ જીમ્નાસ્ટીક અન ઇવન બાર સ્પર્ધામાંમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાત માં દ્વિતીય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. સાથોસાથ વોલ્ટીંગ ટેબલ સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
બોર્ડની પરીક્ષા:ધો. 10-12માં ગેરરીતિની અધૂરી વિગત રાખનારા કર્મચારીને કસૂરવાન ગણાશે
તા. 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12ની બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડ કે બહાર રેતીનો કેસ પકડનારા અધિકારી કર્મચારી કે સ્ક્વોડના સભ્યોએ પોતે જ કેસની તમામ વિગતો તૈયાર કરીને ફાઇલ કરવાની રહેશે. સ્થળ પર પૂરતી કાર્યવાહી નહીં થવાના કારણે જેમ કે વિદ્યાર્થીની વિગત, વિદ્યાર્થીનું નિવેદન, પકડાયેલું સાહિત્ય પર વિદ્યાર્થી અને કેસ કરનારની સહી, નામ સરનામા સાથે ગેરરીતિનો અભ્યાસ કરનારના સ્વયં સ્પષ્ટ રિમાર્ક, રોજકામ વિગેરે સિવાય વિગતો અપૂરતી હોય આખરી નિર્ણય લેવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે ગેરરીતિના કિસ્સામાં કાર્યવાહી નિયમ પ્રમાણે પૂર્ણ ન કરનાર સ્ક્વોડના સભ્ય કે અધિકારી પોતે કસૂરવાન ગણાશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો કેસ કરવાની ખંડ નિરીક્ષકની પ્રાથમિક ફરજ છે. ખંડ નિરીક્ષકે પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા સેન્ટર ખાતે હાજર થવાનું રહેશે અને મોબાઈલ ફોન સ્થળ સંચાલકને સુપ્રત કરવાનો રહેશે. સમય કરતાં વહેલા પેપરનું પેકેટ ખોલશે પોલીસ ફરિયાદગુજરાત બોર્ડની તા.26મીથી લેવાનારી પરીક્ષાના પેપરની સુરક્ષા બાબતે જો કોઈ પણ પ્રિન્સિપાલ કે સિનિયર શિક્ષક બેદરકારી દાખવશે અથવા પરીક્ષામાં નિર્ધારિત સમય કરતાં વહેલા પેપરનું પેકેટ ખોલશે તો તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આટલું જ નહીં, શિક્ષાત્મક પગલાં રૂપે તેમનો એક વાર્ષિક ઇજાફો પણ અટકાવી દેવામાં આવશે. પ્રશ્નપત્ર બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં જ ખોલવા પડશેશિક્ષણ બોર્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રશ્નપત્રના પેકેટો સીસીટીવી કેમેરાની નજર હેઠળ અને બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં જ ખોલવા પડશે. જો કોઈ ખાનગી સ્કૂલનો શિક્ષક દોષિત જણાશે તો તેને રૂ. 10 હજાર સુધીની પેનલ્ટી ફટકારાશે.
ભરતી:ગુજરાત સરકારમાં ક્લાર્કની ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩માં ગ્રુપ-એમાં 2365 જગ્યાઓ ઉપર તથા ગ્રુપ-બીમાં 3005 ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે કમ્બાઇન્ડ કોમ્પીટીટીવ એકઝામિનેશન (CCE) લેવાનાર છે. આ માટે કોઈ પણ શાખામાં સ્નાતકની ડીગ્રી ધરાવતા 20થી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. અહી અનામત વર્ગ તેમજ મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં છૂટછાટ મળવાપાત્ર થશે. અહીં ઉમેદવારોની પ્રિલીમ અને મુખ્ય બે પરીક્ષાઓ લેવામાં આવશે. આ ભરતી અંગેની વિશેષ માહિતી માટે વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળીયા તળાવ, ભાવનગર ઉપર સંપર્ક કરવો. આ માટે ઓનલાઈન અરજીની છેલ્લી 20 ફેબ્રુઆરી છે.
વીજકાપ:શહેરના સીદસર રોડ વિસ્તારમાં આવતીકાલે વીજકાપ રહેશે
PGVCL ભાવનગર સિટી-2 ડિવિઝન દ્વારા વીજળીની લાઈનના અગત્યના કામ સબબ આવતીકાલે તા.13મી ફેબ્રુઆરીને શુક્રવારે સીદસર રોડ ફિડર નીચે આવતા શહેરના સીદસર રોડ પરના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. 11 કે.વી. સીદસર રોડ ફિડર નીચે આવતા સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, હિલપાર્ક ચોકડી, રાજપથ પાર્ટી પ્લોટ, ઓજ સ્કુલ, સમત્વ સ્કુલની આજુબાજુનો વિસ્તાર, ઇસ્કોન ઈલેવન, સીદસર ગામ, સીદસરથી ચિત્રા રોડ, એસ.એસ. એન્જીનીયરીંગ કોલેજના વિસ્તારોમાં મરામતની કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરના 4 સુધી નવ કલાકનો વીજકાપ જાહેર કરાયો છે. PGVCL દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પુનઃ શરૂ કરાશે.
વેધર રિપોર્ટ:તાપમાન સામાન્યથી 2.3 ડિગ્રી વધુ રહ્યું
ભાવનગર શહેરમાં બપોર અને રાતના તાપમાન વચ્ચે હજી 12 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ તફાવત રહેતા હોય તેમજ પવનની ઝડપ પણ ઓછી થઇ ગઇ હોય બેવડી ઋતુનો પ્રભાવ શહેરમાં યથાવત રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 18.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે સામાન્ય કરતા હોવું જોઇએ તેનાથી 2.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. આજે સવારે અને સાંજે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. જ્યારે આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા હતુ તે સાંજના સમયે ઘટીને 42 ટકા થઇ ગયુ હતુ. ભાવનગર શહેરમાં હાલ ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે.
જિલ્લાનો આકાશ સાથે સંપર્ક તૂટ્યો:ભાવનગરમાં 8 મહિનાથી હવાઇ કટોકટી
કોઇપણ શહેરના વિકાસ, ઉદ્યોગ-ધંધાના સુચારૂ વ્યવસ્થાપન માટે હવાઇ સેવાની કનેક્ટિવીટી હોવી આવશ્યક હોય છે, પરંતુ ભાવનગર 8 મહિનાથી હવાઇ સેવાથી સદંતર રીતે કપાઇ ગયુ હોવા છતા શેડ્યુઅલ ફ્લાઇટ પુન: કાર્યાન્વિત થઇ શકે તેના માટે સ્પષ્ટ ઉણપ સપાટી ઉપર આવી રહી છે. ભાવનગર-મુંબઇ-પુના-ભાવનગર વચ્ચેની હવાઇ સેવાના વાવટા સ્પાઇસજેટ એરવેઝ દ્વારા ગત જુન મહિનામાં સંકેલી લેવામાં આવ્યા હતા. 8 મહિનાથી ભાવનગર હવાઇ સેવાના નક્શામાંથી નાબૂદ થઇ ગયુ હોવા છતા ભાવનગર હવે ક્યારે હવાઇ સેવાથી પુન: કનેક્ટ થશે તેના અંગે કોઇ ગળું ખોંખારીને કહી શક્તુ નથી. ભાવનગરની હરિફાઇ કરી રહેલા અન્ય જીલ્લાના વડા મથકેથી હવાઇ સેવામાં સતત વધારો થઇ રહ્યો છે જ્યારે ભાવનગર પાસે તો જે હતુ તે પણ છીનવાઇ ગયુ છે. ભાવનગરનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ શહેરની હવાઇ સેવા પુન: કાર્યાન્વિત થઇ શકે તેના માટે 8 મહિનાથી નક્કર પરિણામ લાવવામાં સફળ રહ્યા નથી તે વાસ્તવિક્તા છે. ફક્ત મુંબઇ માટેની જ નહીં, ભાવનગરથી દિલ્હી, પુના, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલોર, જયપુર, અયોધ્યા જેવા હવાઇ રૂટ પણ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે. પરંતુ તે દિશામાં પ્રમાણિક પ્રયાસોનો અભાવ સપાટી પર આવી રહ્યો છે. હવાઇ સેવા માટે ઉદ્યોગ ગૃહે આગેવાની લીધીભાવનગરને હવાઇ સેવાથી વંચિત રાખવામાં આવી રહ્યું હોવાથી, કેરીસિલ લિમિટેડ કંપની 8મી માર્ચે મેરેથોન દોડનું આયોજન શહેરમાં કરી રહ્યું છે અને તેને રન ટુ ફ્લાય અભિયાન સાથે સાંકળી અને ભાવનગરની હવાઇ સેવા પુન: શરૂ થાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે કામ પ્રજાના પ્રતિનિધિઓએ કરવા જોઇએ તે કામ ઉદ્યોગ ગૃહ કરી રહ્યું છે.
વિરોધનો વંટોળ:સરકારની નીતિના વિરોધમાં આજે શ્રમિકોની હડતાલ
આવતી કાલ તા.12 ફેબ્રુઆરીને ગુરૂવારે સમગ્ર ભારતના શ્રમિક વર્ગે એક દિવસીય મહા હડતાલનું આહવાન કર્યું છે જેમાં દેશના 10 મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે આ હડતાળને સમર્થન આપ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી છે. તેઓ સરકારના 'કોર્પોરેટ' તરફી નિર્ણયો અને ખાનગીકરણનો સખત વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામીણ ભારતની જીવાદોરી સમાન 'મનરેગા' યોજનાને ફરીથી મજબૂત કરવાની અને બજેટ વધારવાની માંગ પણ છે. આ હડતાલમાં એલઆઇસી ઇન્ડિયા, ભાવનગર ડિવિઝન, ચાર જિલ્લા ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદની 11 શાખાના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ હડતાલમાં જોડાશે. 12 ફેબ્રુઆરીને ગુરૂવારે સવારે 10 કલાકે એલઆઇસી, નિલમબાગ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવશે. આવતી કાલ તા.12 ફેબ્રુઆરીની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાવનગર સહિત ગુજરાતની તમામ લેબર કોર્ટો અને ટ્રીબ્યુનલ જડબેસલાક બંધ રહેશે. જ્યારે આંગણવાડી અને આથા વર્કરો હજારોની સંખ્યામાં રજા રિપોર્ટ ભરીને સમર્થન આપશે તથા રેલીઓમાં ભાગ લેશે. ભાવનગરમાં તા. 12 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે વિશાલ રેલી મોતીબાગથી નીકળશે તથા ઘોઘાગેટ ભગતસિંહ ચોક પાસે માનવસાંકળ યોજી સુક્રોચાર કરશે તેમ સી આઈ ટી યુ મહેતા તથા જિલ્લા મંત્રી અશોકભાઈ સોમપુરાએ જણાવ્યું છે. તા.12 તારીખે યોજાનાર હડતાલમાં લાખો કામદારો બેંક કર્મચારીઓ વીમા ક્ષેત્રના કર્મચારીઓ ઇલેક્ટ્રિક ક્ષેત્રના કર્મચારીઓ મેડિકલ રેપ્રેઝન્ટેટિવ ઇન્કમટેક્સ સહિતના કામદાર કર્મચારીઓ જોડાશે. કર્મચારીઓની મુખ્ય માગણીઓઆ રેલીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ચાર લેબર કોડ રદ કરો, તમામને 26,000 લઘુતમ વેતન આપો, ઓછામાં ઓછું 10,000 પેન્શન આપો, આંગણવાડી આશા સહિતના તમામ સ્કીમ વર્કરોને કાયમી કરી લઘુતમ વેતન આપો, મનરેગાનો કાયદો ફરી અમલમાં લાવો, વીજળી સુધારા બિલ 2025 પાછું ખેંચો, સહિતની માગણીઓ કરાશે. LICમાં 29 વર્ષમાં કર્મચારીની સંખ્યામાં 50 ટકાની ઘટએલઆઇસીમાં વર્ષ 1995ની તુલનામાં 2024 સુધીમાં વર્ગ-3 અને 4ના કર્મચારીઓની 50 ટકા ઘટી થઇ ગઇ છે. પ્રતિ કર્મચારી 631 પોલીસી હતી તેમાંથી હવે વધીને 3552 પોલીસીનું ભારણ થઇ ગયું છે. અનેક રજૂઆત છતાં કોઇ ભરતી કરવામાં આવી નથી. જેથી પ્રમોશન, બદલી, કેશિયર જેવા અનેક પ્રશ્નો વિકટ થયા છે તેમ એલઆઇસી એમ્પ્લોઇઝ યુનિ.ના સેક્રેટરી કમલેશ ભટ્ટે જણાવ્યું છે. કેન્દ્ર સરકાર વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણની છૂટ આપવા જઇ રહી છે. સાથે સરકાર એલઇઆસીમાં પોતાના હિસ્સાનું હજુ વધુ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઇરાદો ધરાવે છે.
આશા ઉજળી બની:સૌરાષ્ટ્ર કક્ષાની મેચ સાથે ભાવનગરના ક્રિકેટ નક્શામાં નવી સવલતનો આજથી પુન: પ્રારંભ
સૌરાષ્ટ્રના ક્રિકેટમાં ભાવનગરના ખેલાડીઓનો દરેક વયજૂથમાં દબદબો રહે છે, પરંતુ ક્રિકેટ ગ્રાઉન્ડની ઉણપ સ્પષ્ટ રીતે વર્તાઇ રહી હતી. હવે ભાવનગરમાં ક્રિકેટ નક્શામાં વધુ એક સવલતનો ગુરૂવારથી સત્તાવાર રીતે આરંભ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની રણજી ટ્રોફીની ટીમની પસંદગી માટેની મુખ્ય ગણાતી જયહિંદ ટ્રોફી ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની ભાવનગર રૂરલ ક્રિકેટ એસોસિએશન અને બોટાદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમો વચ્ચે પ્લેટ ગ્રુપ-એની ત્રિ-દિવસીય લીગ મેચ ગુરૂવારથી ભાવનગરના રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવાની છે. મેચની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યુ છે. રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટની અત્યાધુનિક સગવડતાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, અને બાળકોને ક્રિકેટની નિયમીત તાલીમ માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભાવનગરમાં સર ભાવસિંહજી ક્રિકેટ કલબનું એકમાત્ર ક્રિકેટ મેદાન ઉપલબ્ધ હજુસુધી હતુ જ્યાં સૌરાષ્ટ્ર સ્તરની ક્રિકેટ મેચોના આયોજનો થઇ શકે છે, યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પૂર્ણ કદનું છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ પણ મેદાન જર્જરીત અવસ્થામાં ગરકાવ થયેલું છે. હવે રેલવે ખાતે નવી એક ક્રિકેટ સવલત શરૂ થઇ છે. વર્ષ 1994 બાદ ભાવનગરમાં એકપણ રણજી ટ્રોફી મેચોના આયોજન થઇ શક્યા નથી તેની પાછળ પણ પૂર્ણ કદનું અને બીસીસીઆઇના નિયમો મુજબનું ક્રિકેટ મેદાન ઉપલબ્ધ નહીં હોવાનું મુખ્ય કારણ છે. વધુ સવલતથી ક્રિકેટરોને ફાયદો થશેભાવનગરમાં ક્રિકેટની વધુ સવલતો ઉપલબ્ધ થશે તેના કારણે જીલ્લાના ક્રિકેટને ફાયદો થશે. ક્રિકેટ ક્ષેત્રે ખેલાડીઓ પ્રેક્ટિસ ઉપરાંત સતત મેચો રમતા રહે તો તેઓની કારકિર્દી પર સકારાત્મક અસર પડે છે. હવે રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નવી સવલત ઉપલબ્ધ થતા વધુ મેચોના આયોજનો શક્ય બની શક્શે. - સંદીપ મણીયાર, પસંદગી સમિતીના ચેરમેન ચેરમેન, સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમ
દંપતિએ જીવાદોરી કાપી:સોનગઢમાં ઘર કંકાસમાં દંપતિએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું
ભાવનગર જિલ્લાના સોનગઢના પ્લોટ વિસ્તારમાં રહેતા એક દંપતિએ એકી સાથે ઘરકંકાસમાં ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. સોનગઢના પ્લોટ વિસ્તારમાં દંપતિના આપઘાત મામલે સોનગઢ પોલીસે ઘટના સ્થળે ધસી આવી, દંપતિની લાશને પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડી રજા ઉપર ઘરે આવેલા આર્મીમેન પુત્રની પુછપરછ શરૂ કરવામાં આવી છે. સોનગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતું એક દંપતિનો પુત્ર ઘરે રજા ઉપર આવ્યો હતો અને હસતો ખીલતા પરિવારમાં પતિ-પત્નિ અને પુત્ર ત્રણેય એક સાથે ઘરમાં રહેતા હતા. જે દરમિયાન આજે એકાએક બપોરના સુમારે ગુણવંતભાઇ મોહનભાઇ ડાભી (ઉ.વ.55) અને ગીતાબેન ગુણવંતભાઇ ડાભી (ઉ.વ.53)ના દંપતિએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા ભારે અરેરાટી છવાઇ ગઇ હતી. જે બાદ સોનગઢ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે ધસી જઇ, પરિવારના ઘરની આસપાસ રહેતા પડોશીઓની પૂછપરછ કરી હતી. જે મામલે પોલીસને પ્રાથમિક તપાસમાં ઘર કંકાસને લઇને દંપતિએ એકી સાથે જીવન ટૂંકાવી લીધાનું ખુલવા પામ્યું હતું. આ મામલે દંપતિનો પુત્ર આર્મીમાં ફરજ બજાવે છે અને થોડાક દિવસો અગાઉ જ તેઓ રજા ઉપરથી ઘરે પરત આવ્યા હતા. અને દંપતિએ પુત્રને ઘરની બહાર ન જવાનું જણાવાયું હતું અને પુત્ર સાથે ઝઘડો થતા દંપતિએ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. આ મામલે પોલીસે આર્મીમેન પુત્ર કિશોરભાઇની પણ પુછપરછ શરૂ કરી છે. જો કે, આ મામલે પોલીસની તપાસમાં દંપતિના આપઘાત મામલે કોઇપણની સંડોવણી ખુલશે તો સોનગઢ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
કરંટથી યુવકનું મોત થયું:ક્રિભકોમાં યુવકનું કરંટ લાગ્યા બાદ મોત નીપજ્યું
હજીરા સ્થિત ક્રિભકો કંપનીમાં 30 ફૂટ ઊંચા ટાવર પર કામ કરતી વખતે કરંટ લાગ્યા બાદ નીચે પટકાતા યુવાન ઇલેક્ટ્રિશયનનું મોત નીપજ્યું હતું. ઓલપાડના મીંઢી ગામના રહેવાસી 24 વર્ષીય અક્ષય દિપક પટેલ હજીરા ખાતે આવેલી ક્રિભકો કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ઇલેક્ટ્રિશયન તરીકે કામ કરતા હતા. બુધવારે તેઓ ક્રિભકો કંપનીમાં યુરિયા પ્લાન્ટમાં 30 ફૂટ ઊંચા ટાવર પર લાઇન બદલવાની કામગીરી કરતા હતા. દરમ્યાન કરંટ લાગતા તેઓ 30 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા હતા. આ ઘટનાની જાણ કંપનીમાં અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને થતા તેઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. ઘવાયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઇચ્છાપોર પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ફેશન શોનું આયોજન કરાયું:ફેશન શો ઓડિશનમાં 5થી 50 વર્ષના પાર્ટિસિપન્સે ભાગ લીધો
પીપલોદ સ્થિત ઇસ્કોન મોલમાં IFA વર્લ્ડ દ્વારા ‘ફેશન અવોર્ડ વર્લ્ડ સીઝન-4’ના ઓડિશનનું આયોજન કરાયું હતું. જેમાં 5 વર્ષના બાળકોથી લઈને 50 વર્ષથી વધુ વયના પાર્ટિસિપન્ટ્સે પણ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાના સ્ટાઇલ, ડ્રેસ અને આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરી દર્શકો અને જજિસનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત ઘણા પાર્ટિસિપન્ટ્સે રેમ્પવોક સાથે પોતાનું ટેલેન્ટ પણ શો-કેઝ કર્યું હતું.
આંતર કોલેજ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું:સ્પર્ધકોએ વિવિધ ચિત્રો દોરી તેમાં કલાત્મક રંગપૂર્તિ કરી
પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સે કોલેજના એલ્યુમની એસોસીએશનના સહયોગથી આંતર કોલેજ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કોલેજનાં રમણીય ગાર્ડનમાં, પ્રકૃતિ અને સંગીતના સ્વરોનાં સાનિધ્યમાં, કોલેજના આચાર્ય, એલ્યુમની એસોસીએશનના આગેવાનો તથા કોલેજના સ્ટાફમિત્રોની ઉપસ્થિતિમાં શહેરની વિવિધ કોલેજનાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય ભારતની સંસ્કૃતિ અને વારસો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ભારતના લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો, વાધો, તહેવાર, વૈજ્ઞાનિક વિકાસ અને ભવિષ્યના ભારતની છબી જેવા વિવિધ વિષયોને આવરી લેતાં ચિત્રો દોરી અને તેમાં કલાત્મક રંગપૂર્તિ કરીને સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો.
ફ્લાવર શો:21 પ્રકારના 70 હજાર ફૂલોથી મહેંકી ઉઠ્યો ફ્લાવર શો
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા હજીરા સ્થિત એએમએનએસ ટાઉનશીપમાં પ્રકૃતિપ્રેમીઓ માટે રંગો અને સુગંધનો અદભુત મહોત્સવનું આયોજન કરાયું છે. 18મી ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફ્લાવર શોએ સમગ્ર વિસ્તારને વસંતોત્સવની છટાથી મહેકાવી દીધો છે. ટાઉનશીપના તાડ ઝુલા ખાતે અંદાજીત 2 એકર વિસ્તારમાં ફેલાયેલ આ પ્રદર્શને 21 પ્રકારના 70 હજારથી વધુ રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે. મેરીગોલ્ડ, પિટુનિયા, ડાયનાથસ, ગઝાનિયા, ગેરેનિયમ, કેલેન્ડુલા, સાલ્વિયા, સેલોસિયા, જીનિયા, સ્ટોક, અંતિર્રહિનમ, ક્રિસેન્થેમમ, દાહલીયા, વીન્કા, ફ્લોક્સ, એસ્ટર, સિલ્વર ડસ્ટ, એલીસમ સહિતના ફૂલોની અદભુત સજાવટ મુલાકાતીઓ માટે દ્રષ્ટિ અને મન બંનેને મોહી લે તેવી બની છે. રંગોની અનોખી સમરસતા અને ડિઝાઇનિંગથી તૈયાર કરાયેલા આ ગાર્ડન સેલ્ફી અને ફોટોગ્રાફી માટે આકર્ષણ બન્યું છે. રાત્રે આકર્ષક લાઇટિંગથી તે “ગ્લો ગાર્ડન” બની જાય છે. ટાઉનશીપ ઉપરાંત આસપાસના વિસ્તારોના નાગરિકો માટે ફ્લાવર શો વિનામૂલ્યે ખુલ્લો મુકાયો છે. આ ભવ્ય આયોજન માટે ઓક્ટોબર મહિનાથી જ તૈયારીઓ શરૂ કરાઇ હતી. 60થી વધુ ગાર્ડનર, કાર્પેન્ટર, પેઈન્ટર અને સુપરવાઈઝર્સે સતત મહેનતથી છોડ રોપ્યા, જાળવણી કરી અને સુંદર લેઆઉટ તૈયાર કર્યા છે. માર્ચ સુધી ફૂલોની આ રંગીન છટા યથાવત રહેશે.
રાજકોટના અમીન માર્ગ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની 50 વર્ષ જૂની ટેનામેન્ટ યોજના આજે વિવાદનું કેન્દ્ર બની છે. આ યોજના હેઠળ અપાયેલા મકાનોમાં જમીનની કિંમત હાલ કરોડોમાં છે. અહીં અનેક પરિવાર 40-50 વર્ષથી મકાનોમાં વસવાટ કરે છે, પરંતુ સમયની થપાટો વચ્ચે મકાનો હવે અતિ જર્જરિત અને ખખડધજ હાલતમાં આવી ગયા છે. રહેવાસીઓ જ્યારે પોતાના સ્વખર્ચે મકાનનું રિનોવેશન કે નવું બાંધકામ કરવા માટે મનપાની ટી.પી. શાખામાં પ્લાન પાસ કરાવવા જાય છે ત્યારે હાઉસિંગ બોર્ડની શરત સામે આવે છે. બોર્ડ દ્વારા એવી શરત મૂકવામાં આવે છે કે, જ્યાં સુધી જમીન ફ્રીહોલ્ડ કરવામાં ન આવે, ત્યાં સુધી નવા પ્લાન મંજૂર કરવામાં આવશે નહીં. આ ફ્રીહોલ્ડ પ્રક્રિયા માટે વર્તમાન જંત્રી દર મુજબ મકાન દીઠ રૂપિયા 1 કરોડ જેવી જંગી રકમ ભરવી પડે તેમ હોવાથી અનેક લોકો મોતની છાયા સમાન આ મકાનમાં રહેવા મજબૂર છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેરે ફતવો બહાર પાડ્યોઆ અંગે છેલ્લા ત્રણ વર્ષથી અનેક રજૂઆતો કરી ચૂકેલા સ્થાનિક અશોકભાઈ કામદારે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડનાં ટેનામેન્ટ ધારકોનો મુખ્ય પ્રશ્ન છે કે, સરકારની વર્ષ 2019ની જે પોલિસી છે, તેમાં જમીનને ફ્રીહોલ્ડ કરવાની 5 શરતો રાખવામાં આવી છે. જોકે તેમાં મકાનમાં રિનોવેશન કરવા માટે જમીન ફ્રીહોલ્ડ કરવી તેવી કોઈ વાત જ નથી પરંતુ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેરે ફતવો બહાર પાડ્યો છે. જેને લઈ અમારા મકાનોના રિનોવેશન કરવા માટેના પ્લાન પાસ કરવામાં આવતા નથી. અમે CMથી લઈને PMO સુધી રજૂઆત કરી છેઅમે RTI કરી જેમાં સુરત, અમદાવાદ, તેમજ બરોડામાં આવી કોઈ જોગવાઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને શહેરી વિકાસનાં અધિકારીઓ ઉપરાંત મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. એટલું જ નહીં રાજકોટનાં ત્રણેય ધારાસભ્યોને સાથે રાખીને અમે મુખ્યમંત્રીને મળીને રૂબરૂ રજુઆત કરવા છતાં સમસ્યા દૂર કરવામાં આવતી નથી. જેને લઈને PMOમાં પણ અમે રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, આપની ડબલ એન્જીન સરકાર મધ્યમ વર્ગના લોકોને હેરાન કરી રહી છે ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ અમે કરી છે. 50-60 વર્ષ જૂના મકાનમાં જીવનું જોખમ છતાં રિનોવેશન કરવા દેતા નથીગુજરાત હાઉસિંગ બોર્ડે જે જમીન માત્ર 50 પૈસામાં ખરીદી હતી, તેના હાલ વર્તમાન જંત્રી પ્રમાણે 35,000 માંગવામાં આવી રહ્યા છે. જેને કારણે પ્રતિ મકાન કુલ રૂપિયા 1 કરોડ ભરવા પડે તેમ છે. જે કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. અમારા મકાનો 50-60 વર્ષ જુના થયા છે તેમાં રહેવામાં જીવનું જોખમ છે છતાં અમને રિનોવેશન કરવા દેવામાં આવતું નથી. અમારી પાસેથી અગાઉ જ જમીનનાં અને ક્વાર્ટરનાં રૂપિયા વસૂલી લેવામાં આવ્યા છે. આ અન્યાય અને દાદાગીરી છે. શહેરી વિકાસ અને હાઉસિંગ બોર્ડનાં અધિકારીઓ મળેલા અને ભળેલા છે. જીવના જોખમે ખખડધજ મકાનોમાં રહેવાનો વારો આવ્યોઅગાઉ અનેક લોકોએ મકાનોમાં ફેરફાર કરાવી નાખ્યો છે. તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી અમારી સામે જ થાય છે. મનપાની ટી.પી. શાખા અમારા પ્લાન મંજૂર કરતી નહીં હોવાથી અમારે નાછુટકે જીવના જોખમે ખખડધજ મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે. અમે પ્લાન પાસ કરવા માટે નિયમોમાં છૂટાછાટની માગણી કરી છે પણ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કે ઈજનેરો કોઈ પ્રત્યુતર આપતા નથી. આ મકાનો બન્યા ત્યારથી અમે રહીએ છીએ અમારા ટેનામેન્ટોની હાલત બગડી ગઈ છે અને રિપેરીંગ માટે મંજૂરી માંગવામાં આવે ત્યારે સરકાર દ્વારા ફ્રી હોલ્ડ માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે. મકાનધારકો પાસેથી અધિકારીઓ લાખો રૂપિયા લઈ રહ્યા હોવાનો આરોપકેટલાક લોકોને તેમના મકાનમાં રહેવું અશક્ય હોવાથી મંજૂરી વગર પણ રીનોવેશન કરવું પડી રહ્યું છે. આવા મકાનધારકો પાસેથી અધિકારીઓ લાખો રૂપિયા લઈ રહ્યા હોવાનો મારો ખુલ્લો આરોપ છે. તેમજ અમારી માંગ છે કે, તાત્કાલિક આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી અમે ફ્રીહોલ્ડ કરાવ્યા વિના મકાનો રીનોવેટ કરાવી શકીએ. અને મોતના ભયમાં જીવવું પડે નહીં. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. જેને લઈને PMOમાં કરેલી રજૂઆતનું 17 ફેબ્રુઆરીનાં રોજ હિયરિંગ થવાનું છે. જેમાં આ મામલે અમારા હિતમાં નિર્ણય આવશે એવી અમને આશા છે. વધારાની ફી હટાવી અમને રીનોવેશન માટેની મંજૂરી આપવામાં આવેહિમાક્ષીબેન ગગલાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું અહી 50 વર્ષથી રહુ છું. હાલમાં અમારા મકાનો જર્જરિત થઈ ચૂક્યા છે, તેમાં ઉધઈનો પણ પ્રોબ્લેમ છે. જેને લઈને રિનોવેશન કરવું અત્યંત જરૂરી છે. અહીં ઉપર અને નીચેની માલિકી અલગ-અલગ હોવાથી બે ભાગ પાડવાની મંજૂરી પણ અમે માંગીએ છીએ. આ માટે વધારાની જે ફી લગાવવામાં આવી છે તે જરાપણ યોગ્ય નથી. આ કારણે હાઉસિંગ બોર્ડમાં મકાનોના કોઈ સોદા પણ થતા નથી. ત્યારે વધારાની ફી હટાવી લઈને અમને રીનોવેશન માટેની મંજૂરી આપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. મકાનો ગમે ત્યારે પડી જાય તેવી પણ શક્યતા છેદિવ્યેશભાઈ પારેખ નામના સ્થાનિકે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું 25 વર્ષથી રહું છું. પણ આ મકાનો 50 વર્ષ જુના અને ખૂબ જર્જરિત હાલતમાં છે. અંદર ઉધઈ એટલી છે કે મકાનો ગમે ત્યારે પડી જાય તેવી પણ શક્યતા છે. જો રીનોવેશન નહીં કરવામાં આવે તો કોઈ દુર્ઘટના થાય તેવી પણ પૂરતી શક્યતા છે. અમે ગત તા. 29 નવેમ્બરનાં રીનોવેશનની મંજૂરી આપવા અરજી કરી હતી. જેનો એક મહિના પછી જવાબ આવ્યો છે. તેમાં પણ માત્ર અરજી આગળ વધારી છે તેવો જવાબ હતો. અત્યારે મકાનોની હાલત અતિ જર્જરિત હોવાથી અહીં તાત્કાલિક રીનોવેશનની મંજૂરી આપવામાં આવે તેવી અમારી માંગ છે. આ માટે જરૂરી જંત્રી મુજબની રકમ ભરવા પણ અમે તૈયાર છીએ. રાજકોટ માટે નહીં આખા રાજય માટે આ પોલિસી છે : હાઉસિંગ બોર્ડરાજકોટ જ નહિ પણ આખા રાજ્ય માટે એકસરખા નિયમને પરિપત્ર હોવાનું હાઉસિંગ બોર્ડનાં અધિકારીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, બધા જ મકાનો ટેનામેન્ટ સ્વરૂપના છે તેના માટે ફ્રીહોલ્ડ જમીન કરાવવી જરૂરી છે. અત્યારે અમે જંત્રી પ્રમાણે પૈસા લઈએ છીએ. ખરેખર તો જમીનોની કિંમત ખુબ વધી ગઈ છે છતાં જંત્રીદરે જ પૈસા વસૂલાય છે. રાજકોટ, અમદાવાદ,સુરત સહિત તમામ સ્થળે હાઉસિંગ બોર્ડ બનાવેલા ટેનામેન્ટ છે ત્યાં મકાનોના પ્લાન પાસ કરાવતા પહેલા જમીન ફ્રી હોલ્ડ કરાવવાની પોલિસી લાગૂ છે. આ રીતે પૈસા ભરપાઈ કરનારને ફ્રીહોલ્ડ કરી આપવામાં આવે છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર નવી પોલિસી જાહેર કરશે : MLA દર્શિતા શાહધારાસભ્ય દર્શિતા શાહે આ મામલે દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ધારકો દ્વારા રિનોવેશન કરવાની મંજૂરી માટે રજુઆત કરવામાં આવી હતી. જેમનું પોતાનું મકાન છે અને રિનોવેશન કરવું હોય તેને ફ્રીહોલ્ડ કરવામાં આવે તેવી રજુઆત હતી. તેમનો આ પ્રશ્ન લઈ અમે બધાને સાથે રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રભારી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસનાં અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ પ્રશ્ન માત્ર રાજકોટ નહીં પરંતુ અમદાવાદ, બરોડા, સુરત સહિત ગુજરાતના તમામ શહેરોમાં આ પ્રશ્ન છે. સરકાર આ બાબતમાં લોકોની વાત સાથે સહમત છે, આ માટેની પોલિસી પણ તૈયાર કરાઈ રહી છે. જે ટૂંક સમયમાં જાહેર થતા હાઉસિંગ બોર્ડના મકાનધારકોનો પ્રશ્ન હલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાઉસિંગ બોર્ડે બનાવેલી આવાસ યોજના પૈકી સૌથી જૂની અમીન માર્ગની આ ટેનામેન્ટ યોજનાની હાલત બદતર થવા લાગી છે. 50 વર્ષ જૂની આવાસ યોજનામાં જમીનની કિંમત કરોડોમાં છે પણ તેની ઉપરના મકાનોની ખખડધજ હાલત તેમાં રહેનારાઓ માટે જોખમ ઊભું કરનારી બની રહે છે. પારિવારિક મકાન માટે કરોડો રૂપિયા ક્યાંથી ભરવા? આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, અમુક હજારમાં ખરીદેલા આ પારિવારિક મકાન માટે કરોડો રૂપિયા ક્યાંથી ભરવા? અમારે કઈ મકાનો વેચવાના નથી. રહેવા માટે મકાન બનાવવાના છે અને આમ છતા તેના પ્લાન પાસ કરવામાં આવતા નથી. જોકે ધારાસભ્ય દર્શીતાબેન શાહે સમગ્ર મામલે સરકાર ગંભીરતાથી વિચારી રહી હોવાનું તેમજ ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા નવી પોલિસી જાહેર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે ત્યારે આ નવી પોલિસી ક્યારે આવે છે તે જોવું રહ્યું.
સુમુલ ડેરીની ચૂંટણી સાબરકાંઠા દૂધ મંડળીના કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે જ યોજવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી)ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજવા સીમાંકન મતદાનની પેટર્ન અંગે પક્ષકારોને સાંભળી તમે નિર્ણય લેવાના છો ત્યારે સુમુલ ડેરીની ચૂંટણી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ વિરુદ્ધ પટેલ પંકજ કુમાર અને અન્યોના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ જ યોજવામાં આવે એવી રજૂઆત છે. તાલુકા બેઠક મુજબ ઉમેદવારોને ચૂંટવાની પેટર્ન સામે વાંધા અરજી રજૂ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઝોન દીઠ 1-1 વોટ અને પ્રાથમિક દૂધ મંડળીના દરેક સભાસદ 16-16 મત આપી શકે છે. જો નવા સીમાંકનમાં બેઠકો વધે તો એ મુજબ દરેક પસંદગીના ઉમેદવારોને સભાસદો મત આપી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર સુમુલ ડેરી નહીં, પરંતુ રાજ્યની તમામ ડેરી સંઘને લાગુ પડે છે. પણ અત્યાર સુધી કોઈ સભાસદે એનો અમલ કરતી માંગ કરી ન હોવાથી તાલુકા દીઠ એક બેઠક માટે તાલુકાની મંડળીઓના મતદારો જ મતદાન કરે છે. જો તાલુકા મુજબ મતદાન પેટર્ન નક્કી થાય તો નવા બનેલા તાલુકા અડાજણ, અબ્રામા, ઉકાઇ, અંબિકા અને અરેઠ તાલુકાની દૂધ મંડળીઓને પણ ઉમેદવારીનો અધિકાર આપવો પડે. સુમુલ ડેરીમાં હાલ વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે અને સિમાંકનને લઈને કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારો ચૂંટણી વહેલી થાય તેની રાહ જોઈ રહ્યા છે.
યુવતીએ જીવાદોરી કાપી:કતારગામમાં યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
કતારગામમાં એક યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. યુવતીએ કયા કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. કતારગામ સાંઈ રેસીડેન્સી ખાતે રહેતાં 33 વર્ષીય અલ્પાબેન ભીમાભાઈ મોરી ઓનલાઈન વેપાર કરતાં હતાં અને બહેન સાથે રહેતા હતા. મંગળવારે રાત્રે અલ્પાબેને પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે અલ્પાબેને ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. પોલીસે સંબંધીઓના નિવેદન નોંધ્યા હતા.

32 C