SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

દાનની વર્ષા થઈ:લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનને 80 લાખનું દાન

તાલુકાના દેશલપર ખાતે આવેલા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન-સંસ્કારધામની સ્થાપનાને 30 વર્ષ પૂર્ણ થતાં હોવાથી, આગામી તા. 25થી 27-4 દરમિયાન ‘ત્રિદશાબ્દિ મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવનાર છે. આ મહોત્સવના સુદ્રઢ આયોજન માટે તજેતરમાં કેન્દ્રસ્થાન ખાતે એક અગત્યની સભા યોજાઈ હતી, જેમાં કચ્છભરના લક્ષ્મીનારાયણ મંદિરોના 600 જેટલા પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના મંત્રી કીરીટભાઈ ભગતે સૌને આવકાર્યા હતા. સંસ્થાના પ્રમુખ ગંગારામભાઈ રામાણીએ મહોત્સવની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મહોત્સવ દરમિયાન રૂ. 12 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલા અને 70 રૂમો તથા ભોજનાલયની અદ્યતન સુવિધા ધરાવતા ‘અતિથિભવન’ નું લોકાર્પણ કરવામાં આવશે. ત્રિદિવસીય મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા, વિષ્ણુયાગ અને સંતો-વિદ્વાનોના પ્રેરણાદાયી પ્રવચનોનું પણ આયોજન કરાયું છે. આ સભામાં દાનનો અદભુત મહિમા જોવા મળ્યો હતો. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-નખત્રાણાના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી અને કેન્દ્રીય સમાજના મહામંત્રી અશોકભાઈ ભાવાણીએ મહોત્સવને સફળ બનાવવા સૌને તન, મન અને ધનથી જોડાવા હાકલ કરી હતી. સંસ્થાના મહામંત્રી ઈશ્વરભાઈ ભાવાણીની દાનની અપીલને ભારે પ્રતિસાદ મળ્યો હતો અને માત્ર અડધા કલાકમાં જ ભાવિકો દ્વારા રૂ. 80 લાખના દાનની સરવાણી વહાવવામાં આવી હતી. આ ઉદાર યોગદાન બદલ ઉપપ્રમુખ કૌશલભાઈ લીંબાણીએ દાતાઓનો આભાર માન્યો હતો. જ્યારે કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ જગદીશભાઇ લીંબાણીએ યુવા સંઘ તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સંસ્કાર સંવર્ધન સમિતિના ચેરમેન રતિભાઈ પોકારે સંસ્થાની 30 વર્ષની કામગીરીને આલેખતો ‘સ્મૃતિગ્રંથ’ પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. સભાનું સફળ સંચાલન ઈશ્વરભાઈ ભાવાણીએ કર્યું હતું, જેમાં એસએલવીપીના ચેરમેન પ્રો. કે.વી. પાટીદારનો સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે પૂજાભાઈ શીરવી, ડો. પ્રેમજીભાઈ ગોગારી, નારણભાઈ ચોપડા, પ્રેમજીભાઈ ભાવાણી, ઉપપ્રમુખ મોહનભાઈ ચોપડા, મંત્રી પ્રવિણભાઈ ધોળુ, શાન્તીલાલ નાકરાણી, બાબુભાઈ ચોપડા અને ખજાનચી ગંગારામ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:50 am

કોંગ્રેસની ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા 80 ટકા પૂર્ણ:ભાજપના શાસનમાં અધિકારીરાજ આવ્યું, અમે લોક શાસન લાવશું : કચ્છ જિલ્લા કોંગ્રેસ

કચ્છ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુમ્બલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કચ્છના મતદારો આ વખતે પરિવર્તન લાવવા માટે તૈયાર છે. ગ્રામ પંચાયતોથી લઈ જિલ્લા પંચાયત સુધી વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગ્રામ પંચાયતોમાં 10થી 12 ટકા અને નગરપાલિકાઓમાં આશરે 40 ટકા સુધીની ટકાવારી જિલ્લાથી પ્રદેશ કાર્યાલય સુધી લેવામાં આવે છે. ભાજપના શાસનમાં અધિકારીરાજ આવ્યું, અમે લોક શાસન લાવશું. કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા 80 ટકા પૂર્ણ થઈ ગઈ છે તેમજ ઉમેદવારો માટે પણ સ્વચ્છ અને પ્રજા લક્ષી કામોને પ્રાધાન્ય આપે તેવા પસંદગીની વાત કરતા હુંબલે જણાયું કે, ભાજપા સરકારે વિકાસ કામો કર્યા તેમાં ગુણવત્તા ઘટી રહી છે અને તેનો રોષ સ્થાનિક સરપંચો તથા પંચાયતના સભ્યોને સહન કરવો પડી રહ્યો છે. ફરિયાદ કરનાર ગ્રામ પંચાયતોને વિકાસ કામોથી વંચિત રાખવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સિંચાઈ સહિતના કામોમાં માત્ર 20 ટકા જ રકમ વપરાય છે જ્યારે બાકીની રકમ ભ્રષ્ટાચાર દ્વારા વેરવિખેર થાય છે. ભાજપ સરકાર પંચાયતી રાજના અધિકારોને કમજોર બનાવી રહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય સત્તા મળતી નથી. વિકાસ કામોના ઉદ્ઘાટન કાર્યક્રમોમાં પણ કોન્ટ્રાક્ટરો પાસેથી ખર્ચ વસૂલાતો હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતો, યુવાનો અને મહિલાઓમાં ભાજપ વિરુદ્ધ નારાજગી વધતી હોવાનો દાવો કરીને કોંગ્રેસે સ્વચ્છ છબી ધરાવતા યુવાન ઉમેદવારોને તક આપવાની વાત કરી છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળશે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્તા પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સીમાંકનમાં વિસંગતતાઓ દેખાય છે ટકાવારી મુજબ ફેરફાર થવા જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમને ફાયદો થાય તે મુજબ ફેરફાર કર્યો છે. ખેડૂતો પર ખાનગી કંપનીના હિસાબે અત્યાચાર થાય તે પણ ખેડૂતો ભૂલશે નહીં શિક્ષકોની ઘટનુ સમાધાન માત્ર વાત કરવા પૂરતું જ છે. ઉમેદવારની યાદી 6 તારીખ સુધી તૈયાર થશેઆગામી ચૂંટણીમાં ઉમેદવારોની યાદી માટે જે પ્રક્રિયા થઈ રહી છે તે મહત્વનું કામ ક્યારે પૂર્ણ થશે અને યાદી બહાર પડશે તે અંગે તેમણે જણાવ્યું કે આવતી કાલે સેન્સ પ્રક્રિયા પૂરી થતાં ગુજરાત પ્રદેશ કાર્યાલય પરથી પેનલ દ્વારા નામો નક્કી કરવામાં આવશે, તે મુજબ યાદી તૈયાર થશે. તારીખ 6 એપ્રિલ સુધી ઉમેદવારો નું લિસ્ટ બની જશે. જોકે ફોર્મ તારીખ 11 એપ્રિલ સુધી ભરવાનું છે માટે ત્યાં સુધી ફેરફાર થાય કે ભાજપ કોઈ સબળ ઉમેદવારને આંચકી લે તો નવાઈ નહીં.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:48 am

વિકાસ કામોને વેગ અપાયો:મમુઆરામાં 8 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

મમુઆરા ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ₹ 8 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનસુખાકારીના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્રિકમભાઈએ આ તકે જણાવ્યું હતું કે, રોડ, શિક્ષણ અને સિંચાઈ જેવી પાયાની સુવિધાઓમાં વધારો કરીને સરકાર નાગરિકોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ જાટીયા, તાલુકા પંચાયત સદસ્ય ધનજી ચાવડા, મમુઆરા સરપંચ ગોકુલભાઈ જાટીયા, મહંત ભગવાનદાદા કાપડી, અને આગેવાનો સર્વે લખમણભાઇ માવજી, જાણીતા ઉદ્યોગપતિ સતીશભાઈ છાંગા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બી.કે.ટી. કંપની તરફથી એ.જી.એમ. સીએસઆર ડી.બી. ઝાલા (નિવૃત્ત ડી.વાય.એસ.પી.), જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, ટીડીઓ દિક્ષિતભાઈ ઠક્કર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. બે વર્ષમાં 27 નવી માધ્ય. શાળાઓ મંજૂરજિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છમાં 27 નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ છે. મમુઆરામાં નવી હાઈસ્કૂલ બનવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને હવે દૂર ભણવા જવાની જરૂર નહીં રહે. ત્રિકમભાઇ છાંગાએ બી.કે.ટી કંપનીના સી.એસ.આર કામોની સરાહના પણ કરી હતી. કયા કયા વિકાસકામો થયા ?

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:43 am

સુધામૂર્તિએ કરી ધોળાવીરાની પ્રશંસા:ધોળાવીરાની જળવ્યવસ્થા જોઇ સાંસદ અને જાણીતા લેખિકા બન્યા મંત્રમુગ્ધ

કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાએ ફરી એકવાર પોતાની અનોખી જળવ્યવસ્થા દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના આ પ્રાચીન મહાનગરની મુલાકાતે આવેલા જાણીતા લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અહીના જળસંચય, ગંદા પાણીના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ધોળાવીરાની જળસંરચનાઓ દર્શાવતો વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ઐતિહાસિક સ્થળની પ્રશંસા કરી હતી. સુધા મૂર્તિના જણાવ્યા મુજબ, ધોળાવીરામાં એવી ચેનલો અને નાળીઓ બનાવવામાં આવી હતી કે જેથી વધારે પડતો વરસાદી પાણી રોકાઈ ન જાય અને યોગ્ય રીતે બહાર નીકળી જાય. આ રચના કારેઝ જેવી પ્રાચીન જળવ્યવસ્થાની જેમ છે. નાળાઓ માત્ર વરસાદી પાણીના નિકાલ માટે જ નહીં, પરંતુ પાણીના સંગ્રહ, વિતરણ અને શુદ્ધિકરણ માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. વિશેષ વાત એ છે કે, અહીં લગભગ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા હતી અને ત્યાંથી નીકળતો ગંદો પ્રવાહ નદી કે દરિયામાં ભળી પ્રદૂષણ ન ફેલાવે, અને ખાસ બનાવેલા નાળાઓ મારફતે શહેરની બહાર મોકલવામાં આવતો હતો. સાથે જ તેમણે કહ્યું કે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં 5 થી 7 હજાર વર્ષ જૂનું આવું નગર આજે પણ ગૌરવશાળી શહેર અડીખમ છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:38 am

ફરિયાદ:નટવરનગરમાં પતિનો પત્ની ઉપર કાતરથી હુમલો

બગસરા તાલુકાના નટવરનગર વિસ્તારમાં ઘરેલુ ઝગડામાં પતિ દ્વારા પત્ની પર કાતરથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામા આવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, 29 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યે નટવરનગર વિસ્તારમાં કાજલબેન જગદીશ ડાભી (ઉ.વ.30) પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ જગદીશ કાળુભાઈ ડાભી સાથે બોલાચાલી થતાં તેણે અપશબ્દો આપી આજે તો તને મારી નાખવી છે તેવી ધમકી આપી હતી. આ દરમિયાન પતિએ ઘરમાં પડેલી કાતર લઇ કાજલબેન પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કાજલબેન ડાભીએ 2 માર્ચના રોજ બગસરા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

નાગરિકોમાં આક્રોશ:સાવરકુંડલાના એકમાત્ર જનતા બાગમાં જંગલ જેવી સ્થિતિ : જાળવણીના અભાવે બગીચો ખંઢેર બન્યો

સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ તાલુકાના લોકોનું એકમાત્ર મુખ્ય ફરવા લાયક સ્થળ જનતા બાગની હાલમાં અત્યંત દયનીય સ્થિતિ જોવા મળે છે. પંડિત દિન દયાળ ઉપવન બગીચામાં હાલમાં ઘાસ ઝાડીઓ એટલી ઊભી થઈ ગઈ છે કે તેને જંગલ જેવું બનાવી દીધું છે. પાલિકા તંત્ર અને અગાઉના સતાધીશો દ્વારા જાળવણી કરવામાં ન આવતા લોકોં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જનતા બાગમાં બાંકડા ઉપર બેસવાનું તો દૂર પણ ખડના હિસાબે પગ રાખવા માટે પણ જગ્યા મળતી નથી. આ સ્થિતિને કારણે સવારે વોકિંગ, વ્યાયામ અને શાંતિ માટે આવતા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના નાગરિકોને ભારે અસુવિધા ભોગવવી પડી રહી છે. સાવરકુંડલા શહેરમાં દોડધામ ભરેલા જીવનમાં જનતા બાગ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં લોકો કુદરતી વાતાવરણમાં ફ્રેશ થઈ શકે, ચાલી શકે, બેસી શકે અને મનને શાંતિ આપી શકે. રવિવારે તહેવારોના દીવસેં તેમજ રજાના દિવસોમાં બગીચો નાના મોટા સૌનું પ્રિય સ્થળ બને છે. હવે સફાઈના સંપૂર્ણ અભાવને કારણે આ સુંદર સ્થળમાં હેરાનગતિ પામી રહ્યા છે. જનતાબાગમાં લોકોને અને સિનિયર સીટીઝનો માટે સવારે વોકિંગ માટે ક્યાં ચાલવું તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. બાળકો અને વૃદ્ધો માટે આરામનું સ્થળ ક્યારે પુનઃસ્થાપિત થશે. ? શહેરીજનો દ્વારા સત્તાધીશો પાસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. બગીચાની સાફ-સફાઈ, ઘાસ કાપણી, બાંકડા અને પગથિયાંની સુવિધા પુનઃસ્થાપના તથા નિયમિત જાળવણીની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

સહાનૂભૂતિ:ભુરખિયા હનુમાનજી મંદિરે માનવતાનું દ્રશ્ય

લાઠી નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ઉજવાતા હનુમાન જન્મોત્સવના મેળામાં આ વર્ષે માનવતાનો સ્પર્શ કરતું દૃશ્ય જોવા મળ્યું હતું. મેંદરડા તાલુકામાં કાર્યરત એજ્યુકેશન ટ્રસ્ટના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો દાદાના દરબારમાં પહોંચતા હજારો શ્રદ્ધાળુઓમાં કરુણા અને સહાનુભૂતિની લાગણી જગાવી હતી. ભુરખિયા હનુમાજી ખાતે આ મેળામાં આવેલા આ બાળકોને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના દર્શન પ્રવેશદ્વાર પાસે સંસ્થાને સ્ટોલ રાખવાની પરવાનગી આપવામાં આવી, જેથી દર્શન કરવા આવતા હજારો ભક્તો આ બાળકોને જોઈ શકે અને પોતાની ક્ષમતા મુજબ સહાય કરી શકે. આ સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી પોતે પણ અતિ ગંભીર પ્રકારના વિકલાંગ છે અને ચોપગા પશુની માફક ચાલે છે. છતાં તેઓ અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકોની સેવા, સંભાળ અને લાલન-પાલન માટે સતત પ્રયત્નશીલ રહે છે. મેંદરડા નજીકના સમઠીયાળા ગામથી આવેલા આ બાળકોને જોઈ ઘણા ભક્તોમાં કુતૂહલ સાથે કરુણાનો ભાવ જાગ્યો હતો. ઈશ્વરની અનોખી રચનાને નિહાળી અનેક લોકો અંતરથી પ્રેરાઈ સહાય માટે આગળ આવ્યા હતા. આ પ્રસંગે ઘણા શ્રદ્ધાળુઓએ કહ્યું કે આવી સેવા જોઈને ઈશ્વરની હાજરી દરેક જગ્યા પર હોવાનો અનુભવ થાય છે. ત્યારે ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે ભુરખિયા હનુમાનજીના દરબારમાં માત્ર ધાર્મિક ભાવનાનો જ નહીં પરંતુ માનવતા, સેવા અને કરુણાનો પણ સંદેશ પ્રસરી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નાવલી નદીના કાંઠે અસ્તિત્વનો જંગ: રિવરફ્રન્ટના નામે ગરીબોના પાલા ઉપર પ્રશાસનનું ગ્રહણ લાગ્યું

રાજ્યભરમાં રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનો વેગ વધી રહ્યો છે ત્યારે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ સમાન નાવલી નદીના કાંઠે એક ગંભીર સામાજિક અને આર્થિક સંકટ ઊભું થયું છે વર્ષોથી પરંપરાગત રીતે વેપાર કરતા પાલા ધારકો પર આજે વિસ્થાપિત થવાની તલવાર લટકી રહી છે. કોર્ટના નિર્ણય બાદ પ્રશાસન દ્વારા અપાયેલી બીજી નોટિસથી હજારો પરિવારોના ચૂલા ઓલવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સાવરકુંડલાના રિધ્ધિ સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીના વિસ્તારમાં સૂચિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અત્યારે ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. શહેરના વિકાસ માટે રિવરફ્રન્ટ આવકાર્ય છે પરંતુ જે વિસ્તારમાં તેનું આયોજન થઈ રહ્યું છે, તેનાથી સ્થાનિક અર્થતંત્ર અને સેંકડો પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ પાલા હટાવવાથી અનેક પરિવારો રોજગારી વિહોણા થશે. જે તેમને શહેર છોડી અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર કરશે. સાવરકુંડલાના બુદ્ધિજીવીઓના મતે રિધ્ધિ સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીનો વિસ્તાર રિવરફ્રન્ટ કરતાં કોમર્શિયલ હેતુ માટે વધુ પ્રસ્તુત છે. સાવરકુંડલા એક મર્યાદાશીલ અને પરંપરાગત મૂલ્યો ધરાવતું શહેર છે. સતત ચહલપહલ વાળા વ્યાપારી વિસ્તારમાં રિવરફ્રન્ટનો મૂળ હેતુ સિદ્ધ થશે કે કેમ તે એક મોટો સવાલ છે. જાણકારોનું સૂચન છે કે તંત્રએ ફરીથી ફિઝિબિલિટી રિપોર્ટ કરાવી, રિવરફ્રન્ટના વિસ્તારને શહેરના ઉપલે કાંઠે વિસ્તરિત કરવા અંગે માંગણી કરી છે. જેના કારણે મુખ્ય વ્યાપારી કેન્દ્રને નુકસાન ન પહોંચે. સાવરકુંડલામાં રાજવી કાળમાં નેક નામદાર મહારાજા સ્વ. કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાના રોટલા અને ઓટલાની રક્ષા માટે આ પાલા ધારકોને મંજૂરી આપી હતી. અમુક ધારક પાસે મહારાજા દ્વારા અપાયેલ તાંબા પત્ર જેવા દસ્તાવેજો પણ હોવાનું મનાય છે. ભૂતકાળમાં સ્વ. નવીનચંદ્ર રવાણી જેવા નેતાઓએ જેમના હિતોનું રક્ષણ કર્યું હતું. આ સંદર્ભે સાવરકુંડલામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાલા ધારકોએ જ્ઞાતિ અને સમાજના અગ્રણીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. સર્વાનુમતે તંત્રને જાહેર અપીલ કરવામાં આવી હતી કે શહેરની શોભા વધે તેની સામે વાંધો નથી, પરંતુ તે કોઈના મોઢાનો કોળિયો છીનવીને ન થવું જોઈએ. પાલા ધારકો છેલ્લા ત્રણ કે ચાર પેઢીથી અહીં વ્યવસાય કરીને પેટિયું રળે છે. ટાઢ, આકરો તડકો, ચોમાસા દરમિયાન નદીના પાણીના ભય સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

શિક્ષણ:આજથી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ: EWS કેટેગરીનો પણ સમાવેશ કરાયો

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યા્ર્થીઓને ધોરણ 1માં આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ માટેની પ્રક્રિયાનો 4 એપ્રિલ શનિવારથી પ્રારંભ થશે લાયકાત ધરાવનારા https;/rte.orpgujarat.com વેબસાઈટ પરથી 14મી એપ્રિલ સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. શિક્ષણ વિભાગે વર્તમાન શૈક્ષણિક વર્ષથી આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં 13 અગ્રતા કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો સમાવેશ કર્યો છે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં આંગણવાડીના બાળકો માટેનો અગ્રતા ક્રમાંક 9થી 11 કરાયો છે. જેના કારણે એસસી-એસટી-ઓબીસી-ઈડબલ્યુએસ કેટેગરીને અગ્રતા મળશે. પ્રવેશમાં અમદાવાદ સહિતની રાજ્યની સ્કૂલોમાં આરટીઈ હેઠળની 25 ટકા પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓ જે તે સ્કૂલમં સવારની અને બપોરની એમ બે પૈકીની એક અનુકુળ શિફ્ટ પસંદ કરી શકશે. શિક્ષણ નિયામક દ્વારા 2025-2026ના વર્ષ માટે અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોના વાલીઓને માટે વાર્ષિક આવકની મર્યાદા 6 લાખની કરાઈ હતી. અગાઉના વર્ષોમાં ધોરણ 1 માટે ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખની આવક મર્યાદા હતી. આંગણવાડીના બાળકો માટેનો ક્રમાંક 9થી 11માં કરાતા રિઝર્વ કેટેગરીને અગ્રતા મળશેઆંગણવાડીના બાળકો માટેનો ક્રમાંક બદલવામાં આવતા રિઝર્વ કેટેગરીના વાલીઓ-બાળકોને પ્રવેશમાં પ્રાધાન્ય મળશે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં આંગણવાડીના બાળકો માટેનો અગ્રતા ક્રમાંક 9થી 11 કરાયો છે. જેના કારણે એસસી-એસટી-ઓબીસી-ઈડબલ્યુએસ કેટેગરીને અગ્રતા મળશે. 13 કેટેગરીમાં અગ્રતાક્રમ મુજબ પ્રવેશ અપાશેકુલ 13 કેટેગરી નક્કી કરાઈ છે. જેમાં અનાથ બાળકો, બાળ મજૂર, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનના સંતાનો, બીપીએલ કાર્ડ ધારકોને અગ્રતાક્રમ બાદ એસસી, એસટી તેમજ ઈડબલ્યુએસ સહિતના વર્ગના બાળકોનો સમાવેશ. 25% મુજબ કુલ 9709 શાળામાં 84228 બેઠકો માધ્યમ સંખ્યા ગુજરાતી 41411 અંગ્રેજી 40262 હિન્દી 2235 અન્ય માધ્યમ 320 કુલ શાળાઓ 9709 વાલી, વિદ્યાર્થીના આ પુરાવા રજૂ કરવા જરૂરીઉંમર : પહેલી જૂન,2026ના રોજ બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ, રહેઠાણનો પૂરાવો. , વાલીનું જાતિનું પ્રમાણપત્ર જન્મનું પ્રમાણપત્ર , પાસપોર્ટ સાઈઝના કલર ફોટો, વાલીનું આવકનું પ્રમાણપત્ર ,બીપીએલ-બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધારકાર્ડ

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

પશ્ચિમમાં 10 સ્માર્ટ સિગ્નલ:આંબાવાડીમાં સિગ્નલ પર ઊભા રહેવાનો સમય 30 સેકન્ડ સુધી ઘટી ગયો

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરનું ટ્રાફિક મેનેજમેન્ટ હવે હાઈટેક બન્યું છે. પશ્ચિમ વિસ્તારનાં સૌથી વ્યસ્ત 10 મુખ્ય જંક્શનો પર હવે ટ્રાફિક પોલીસને બદલે ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) કમાન સંભાળી રહ્યું છે. આ સ્માર્ટ સિગ્નલ્સ હવે રસ્તા પર વાહનોની સંખ્યા જોઈને પોતાની મેળે નક્કી કરે છે કે કઈ તરફની વાહનોની લાઇન કેટલી સેકન્ડ ખુલ્લી રાખવી. ટ્રાફિક ડીસીપી નરેશ કણઝરિયાએ જણાવ્યું કે, સફળ ટ્રાયલ બાદ વધુ 50 જંક્શન પર આ સિસ્ટમ કાર્યરત કરાશે. હાલ આ 10 જંક્શન પર સિસ્ટમ કાર્યરતઆંબાવાડી સર્કલ, નહેરુનગર સર્કલ, શિવરંજની ચાર રસ્તા, જોધપુર ક્રોસ રોડ, સ્ટાર બજાર ત્રણ રસ્તા, ઈસરો ગેટ, શિવાનંદ આશ્રમ, રામદેવનગર, ઇસ્કોન ક્રોસ રોડ અને સીએન વિદ્યાલય જંક્શન. ITMSથી શું ફાયદો થશે? સમયની બચત: વાહનોની સંખ્યા મુજબ સિગ્નલ ચાલુ રહેતુ હોવાથી કારણ વગર ઊભા રહેવું નહીં પડે. ઇમરજન્સી વ્હીકલને રાહત: એમ્બ્યુલન્સ કે ફાયરબ્રિગેડને સેન્સર દ્વારા ઝડપી રસ્તો મળશે. મેનપાવર: ટ્રાફિક પોલીસ હવે સિગ્નલ ઓપરેટ કરવાને બદલે કાયદો-વ્યવસ્થા પર ધ્યાન આપી શકશે. નિયમ ભંગ: આઈટીએમસના કેમેરા જંક્શનનું સતત મોનિટરિંગ કરે છે. અંધારામાં પણ સ્પષ્ટ કેપ્ચર કરે છે. ITMS કેવી રીતે કામ કરે છે? : આ સિસ્ટમમાં લાગેલા સેન્સર રસ્તા પર વાહનોની લાઇન માપે છે. જો કોઈ રસ્તા પર ટ્રાફિક ઓછો હોય, તો ત્યાં ગ્રીન સિગ્નલનો સમય આપમેળે ઘટાડી દે છે અને જ્યાં વધુ ટ્રાફિક હોય ત્યાં ગ્રીન સિગ્નલનો સમય વધારી ટ્રાફિક ક્લિયર કરે છે. અગાઉ શું હતું અને હવે શું સ્થિતિ? આંબાવાડી સર્કલ | અગાઉ ટ્રાફિક ન હોય તો પણ 90 સેકન્ડ ઊભા રહેવું પડતું, હવે વાહનો ઓછાં હોય તો 30થી 60 સેકન્ડમાં જ સિગ્નલ ક્રોસ કરી શકાય છે. નહેરુનગર સર્કલ | અગાઉ BRTS, ખાનગી વાહનોના કારણે ટ્રાફિક જવાનોએ સતત મેન્યુઅલ સંચાલન કરવું પડતું હતું. હવે સેન્સર નક્કી કરે છે કે કયો રસ્તો ખોલવો. શિવરંજની ચાર રસ્તા | પહેલાં 120 સેકન્ડથી વધુ સમય ઊભા રહેવું પડતું. આઈટીએમએસથી ટ્રાફિકનું ભારણ વધતા જ ગ્રીન લાઇટનો સમય આપોઆપ વધી જાય છે, જેથી એકસાથે વધુ વાહનો નીકળી જાય. જોધપુર ક્રોસ રોડ | પીક અવર્સમાં જામ રહેતો હતો. હવે સેન્સર લાઇનની લંબાઈ માપે છે. જો 500 મીટર લાંબી લાઇન હોય તો લાઇન અડધી ન થાય ત્યાં સુધી ગ્રીન સિગ્નલ ચાલુ રહે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ચપ્પુથી હુમલો:રાજપીપળા બજારમાં લારી મૂકવાના મામલે લારીધારક પર ચપ્પુથી હુમલો

રાજપીપળા શાકમાર્કેટમાં ફ્રૂટની લારી મુકવા બાબતે બે વેપારીઓ વચ્ચે મારમારી થઇ હતી. આ મારામારીમાં બે વેપારીઓએ એક સંપ થઇને અન્ય વેપારી પર ચપ્પુથી હુમલો કરતાં તેને ઇજાઓ પહોંચી હતી. રાજપીપળાના નવાફળીયા મોતીબાગમાં રહેતા અમિત માછીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, શાકમાર્કેટમાં એક જ જગ્યાએ પોતે અને નિતેશ માછી વારાફરતી ફ્રૂટની લારી ઉભી રાખતા હતાં. નિતેશ માછીનો વારો પૂર્ણ થતાં અમિત પોતાની લારી ઉભી રાખવા માટે સફાઇ કરી રહયો હતો. આ સમયે ત્યાં હાજર નિતેશે તું સફાઈ કેમ કરે છે તેમ કહ્યું ત્યારે અમિત માછી એ કહ્યું કે મારો વારો આવે એટલે જે તે લારી મુકવાની જગ્યા હું સાફ સફાઈ કરું છું તું જાણે છે. નિતેશ માછી એકદમ ઉશ્કેરાઈ જઈને અમિતની ફેટ પકડી છાતીના ભાગે એક મુક્કો મારી નીચે પડી દીધો હતો. આમ બંને વચ્ચે ઝગડો થતા એટલામાં સામે થી હસમુખ માછી છરો લઈને દોડી આવી અમિતને છરો માથામાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિતેશ અને હસમુખ બંને અમિતને માર માર્યો હતો. બનાવ અંગે અમિતે નિતેશ અને હસમુખ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

નજીવી બાબતે હત્યા:કોયારી ગામે 10 રૂપિયા વાપરવા નહીં અપાતાં ગળું દબાવી હત્યા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારી ગામે એક નજીવી બાબતે રોષે ભરાયેલ વ્યક્તિએ બીજાની હત્યા કરી નાખી કારણ હતું, એકે 10 રૂપિયા વાપરવા માગ્યા હતા. બીજા એ ના પાડતા હત્યા ની ઘટના બની તિલકવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર ના કોયારી ગામના મૂળ વતની અને હાલ ભાદરવા ટેકરા ફળિયામાં રહેતા 41 વર્ષીય રાજેશભાઈ ધનજીભાઈ તડવી સવારે ભાદરવા સ્ટેન્ડ બાજુથી કરીયાણ લઇ ભાદરવા ગામ તરફ આવતા હોય આ સમયે ગામમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ઘમો ગણપત તડવી જે પણ ગામ બાજુ આવતો હોય ગામના ઝાપા પાસે ધર્મેન્દ્ર એ રાજેશભાઈ સાથે ભેગા થઇ જતા રાજેશ પાસેથી ધર્મેન્દ્ર એ વાપરવા માટે રૂપિયા 10 માંગતા રાજેશભાઈ એ આપવાની ના પાડી હતી જેથી ધર્મેન્દ્ર રોસે ભરાઈ ને રાજેશને આર.સી.સી.રોડ પ૨ પાડી દઈ છાતી અને ગળાના ભાગે લાતો મારી ગળાના ભાગે પગ મુકી ગળુ દબાવી દઈ મોત નિપજાવ્યું હતું. જે બાબત ની સ્થાનિકોએ પરિવાર ને જાણ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને ધર્મેન્દ્ર ભાગી ગયો હતો તિલકવાડા પી.આઈ એ.પી.સોલંકી તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ધર્મેન્દ્ર ગણપત તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

કોર્ટનો ચુકાદો:રાણીપુરામાં પત્નીને સળિયાના ઘા ઝીંકનાર પતિને આજીવન કેદ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુરા ગામે વર્ષ 2024માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં સેસન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરનાર પતિ રામસિંહ પોહ્લ્યા પાડવીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી કાયદાનું ભાન કરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રામસિંહ પાડવી અને તેની પત્ની અરૂણાબેન વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. 5 જાન્યુઆરી 2024ની રાત્રે પરિવાર જમી પરવારીને ઘરના આંગણે સૂતો હતો. મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે રામસિંહ અચાનક જાગ્યો હતો અને ઊંઘી રહેલી પત્ની પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થતાં અરૂણાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ કેસ નર્મદા જિલ્લા સેસન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે આકરો ચુકાદો આપ્યો છે. સમાજમાં દાખલો બેસે તે રીતે પત્નીના હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. કેસમાં સરકારી વકીલ વંદના ભટ્ટે કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. તેમણે રજૂ કરેલા મેડિકલ રિપોર્ટ, પંચનામા અને સાક્ષીઓના નિવેદનોના આધારે પુરવાર થયું હતું કે, આરોપી રામસિંહ પોહ્લ્યાભાઈ પાડવીએ 5 જાન્યુઆરી 2024ની રાત્રે પૂર્વઆયોજિત કાવતરા મુજબ ઊંઘી રહેલી પત્નીના માથામાં લોખંડના સળિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ગઠિયાઓએ કરી હાથસફાઈ:દેડિયાપાડામાં વેપારીની ચેઇન બે વીંટી લઇને બે ગઠિયા ફરાર

દેડિયાપાડામાં ઘડિયાળની દુકાનમાં ઘુસેલા ગઠિયાઓ દુકાનદારની નજર ચુકવીને એક સોનાની ચેઇન અને બે વીટી લઇને ફરાર થઇ ગયાં હોવાની ઘટના સામે આવી છે. દેડીયાપાડા પટેલ ચાલીમાં રહેતા અને યાહામોગી ચોક પાસે શ્રીજી વોચ નામની ઘડિયાળની દુકાન ચલાવતા હસમુખ પટેલ પાસે બે ગઠિયાઓ ઘડિયાળ ખરીદવાના બહાને મળ્યાં હતાં. બે તારીખે સવારે 11 કલાક ના સમયે દુકાન પર હતા ત્યારે બે અજાણ્યા ઈસમો દુકાનમાં આવી ને નીલકટર માંગવા લાગ્યા. પછી વાત વાતમાં વેપારીને વિશ્વાસમાં લઈ ને તેમણે પહેરેલી ત્રણ તોલાની ચેન અને બે અડધા તોલાની બે વીટીઓ તેમની પાસેથી શરીર પરથી ઉતારાવી દીધી હતી. વેપારીની નજર ચૂકવીને બંને ગઠિયાઓ ચેઇન અને વીટી લઇને ફરાર થઇ ગયાં હતાં. જેની કિમંત 2.38 લાખ રૂપિયા થવા જાય છે. વેપારીએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ટોળકીની મોડસ ઓપરેન્ડી શું હોય છે ? વેપારીઓ અને ખાસ કરીને જ્વેલર્સની નજર ચૂકવીને ચોરી કે છેતરપિંડી કરવા માટે ગઠિયાઓ ખૂબ જ હોશિયારીથી પ્લાનિંગ કરતા હોય છે. ગઠિયાઓ ઘણીવાર જૂથમાં આવે છે અને એકસાથે અલગ-અલગ દાગીના કે વસ્તુઓ જોવાની માંગ કરે છે. વેપારી જ્યારે એક ગ્રાહકને સંભાળવામાં વ્યસ્ત હોય, ત્યારે ટોળકીનો બીજો સભ્ય નજર ચૂકવીને દાગીના ખિસ્સામાં સરીકાવી લે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

સાંસદ કલાબેન ડેલકરે લોકસભાના સદનમાં પ્રશ્ન ઉઠાવ્યો:દાનહમાં વિકાસ કાર્યોની સાથે પારદર્શીતા અંગે ટકોર

દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોક સભાના સદનમાં આવજ ઉઠાવતા જાનહમાં અગાઉથી ચાલી રહેલ સ્માર્ટ સીટી પરિયોજનાના અધૂરા કાર્યોને પ્રાથમિકતાની સાથે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ નવી યોજનાને લાગુ કરવા જણાવ્યું હતું સાથે જ તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમને લઇ પ્રદેશના ખેડૂતો,જમીન માલિકો અને સ્થાનિક નિવાસીઓમા ભારે અસંતોષ હોય તેને રદ કરવા જણાવ્યું હતું. સ્માર્ટ સીટી પરિયોજનાઓ અંતર્ગત કેટલાક વિકાસના કામો શરુ કરવામાં આવેલા પરંતુ એમાથી કેટલાક કાર્ય હાલમાં પણ અધૂરા છે.જેનાથી જનતાને અપેક્ષિત સુવિધાઓ નથી મળી રહી. એમણે એ પણ કહ્યુ કે, જ્યા સુધી પહેલા શરુ કરવામાં આવેલા કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી નવી યોજનાઓ શરુ કરવું યોગ્ય નથી કારણકે, એનાથી સરકારી સંસાધનો પર વધુ પડતો ભાર પડે છે અને વિકાસ કાર્ય અધૂરા રહી જાય છે. સ્માર્ટ સીટી યોજનાનો ઉદેશ્ય શહેરમાં આધુનિક સુવિધાઓ, સારા રસ્તાઓ, પાણીની વ્યવસ્થા, પાર્ક, બજાર, ડીજીટલ સેવાઓ અને સારી શહેરી વ્યવસ્થાપન ઉપલબ્ધ કરાવવાની છે.પરંતુ કેટલીક યોજનાઓ હજી પણ અધૂરી જ છે. જેથી એમણે સરકારને આગ્રહ કર્યો છે કે સ્માર્ટ સીટી મિશન અંતર્ગત જે પણ કાર્ય શરુ કરવામાં આવેલા એને સમય પર પૂર્ણ કરવામાં આવે જેથી જનતાને એનો સીધો લાભ મળી શકે અને પ્રદેશનો વાસ્તવિક વિકાસ થઇ શકે. આવનાર સમયમાં એ પણ જોવુ મહત્વપૂર્ણ છે કે પ્રશાસન ટાઉન પ્લાનિંગ સ્કીમ પર શુ નિર્ણય લે છે અને સ્માર્ટ સીટી યોજનાઓના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે કયા પગલા ઉઠાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

નદીમાં ડ્રેજિંગ કરાવવા સાંસદને લેખિત આવેદન:વલસાડના ભદેલીમાં જમીન ધોવાણ અંગે ગ્રામજનોમાં રોષ

વલસાડના ભદેલીજગાલાલા અને ભદેલી દેસાઇ પાર્ટી ગામે ચોમાસામાં ભરતીના કારણે જમીનના થતાં ધોવાણ મુદ્દે ગામના અગ્રણીઓ દ્વારા સાંસદ ધવલ પટેલને આવેદન આપ્યું હતું.આ વિસ્તારમાં ચોમાસામાં નદીની રેલ અને ભરતીના કારણે આ પ્રશ્ન ઉકેલવા માગ કરવામાં આવી છે. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભદેલી જગાલાલા અને ભદેલી દેસાઇ પાર્ટી વિસ્તારમાં ખેતીવાળી જમીનમાં નદી કિનારેથી ચોમાસાના દિવસોમાં થતું ધોવાણની સમસ્યા સર્જાઇ રહી છે.જેના કારણે ખેતી કરતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આ મામલે ગ્રામજનોએ સાંસદ ધવલ પટેલના કાર્યાલય ખાતે જઇને આવેદન આપી રજૂઆત કરી હતી.ગત વર્ષે પૂરના કારણે સાંસદે આ ગામમાં મૂલાકાત લીધી હતી તે બાબતે ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.આ સાથે તેમણે આવેદનમાં જણાવ્યા મુજબ આ ગામના છેવાડે જમીન પાસેથી નદીની રેલ અને દરિયાની ભરતીના કારણે ચોમાસા દરમિયાન ધોવાણનો પ્રશ્ન વર્ષો જૂનો છે .કિનારે ગામ હોવાથી નાના ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે તેવી રજૂઆતો કરી નદીને ઉંડી કરવાની માગ કરી હતી.આ ધોવાણથી ખેતી નહિ થતાં નાના સિમાંત ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતાં સાંસદ દ્વારા નદી ઉંડી જો કરાવવામાં આવે તો ચોમાસામાં પ્રવાહ દરિયા સુધી સરળતાથી થઇ શકે તેમ હોય આ કામગીરી માટે સાંસદ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.સાંસદ ધવલ પટેલે રહીશોની રજૂઆતો સાંભળી હૈયાધરપત આપી હતી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

મહિનાની વાતચીત:આરોગ્ય સેવા સાથે જોડાયેલી દષ્ટિ- વ્યક્તિગત મુદ્દા પર સુપ્રિન્ટેન્ડન્ટનો ઇન્ટરવ્યુ

ભાવનગર જિલ્લાના બોટાદ (હાલે બોટાદ જિલ્લો)ના વતની વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ ડો. ભાવેશ ગોયાણી સિવિલમાં આવતાં હજારો દર્દીને દૈનિક સારવાર પૂરી પાડવાનું ટીમ-નેટવર્ક પોતાની વહીવટી કુશળતાથી સંભાળી રહ્યા છે. એસએસસી બાદ સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લઇ તબીબી સેવાની મંઝિલ સર કરવાના લક્ષ્ય સાથે આગળ વધતા ગયાં હતા.સર્વિસ બેઝ ધરાવતાં કુટુંબમાંથી આવતાં ડો.ભાવેશ ગોયાણી આરોગ્ય વિભાગ, સરકારી નિયમો અને નીતિને અનુસરી દર્દીઓની સેવા કરવા પ્રેરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં નિમણૂંક પામી દર્દીઓની સેવાની ભાવના સાથે સફળતાથી આગળ ધપી યુથ માટે પરિશ્રમથી સફળતા પામવાનો પ્રેરણા સ્ત્રોત બન્યા છે. વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના પ્રોફેસર અને સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ ડો.ગોયાણી સાથે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ તેમની કારકિર્દીનું લક્ષ્ય, જીવનયાત્રા,દર્દીઓની મેડિકલ ટ્રીટમેન્ટનું મોનિટરિંગ, જીવનનો પ્રેરણા સ્ત્રોત,કૌટુંબિક જવાબદારી સહિત મુદ્દે રસપ્રદ પ્રશ્નોત્તરીના અંદાજે વાતચીત કરી જે માનવંતા વાચકો માટે અત્રે પસ્તુત છે. Q. જીવન યાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક કોને માનો છો?A. માતા પિતાના સંસ્કારો અને બિમારીઓથી પિડાતા દર્દીઓની સારવારનો ખર્ચ વધી જતાં તેમની મજબૂરી નિહાળી હતી જે સરકારી મશીનરીમાં જોડાઇ મેડિકલ ક્ષેત્રે નોકરી મેળવી દર્દીઓની સેવા કરવાનો વિચાર સ્ફૂર્યો તે ક્ષણ જીવનનો મહત્વનો વળાંક હતો.વિદ્યાર્થી જીવનના ધો.12 પછી દર્દીઓની મેડિકલ સેવા માટેની ભાવના સરકારની આરોગ્યલક્ષી કામગીરીમાં જોડાવાની જીવન યાત્રાનો ભાગ બની. Q. મેડિકલ કોલેજના પ્રોફેસર અને મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ બન્યા તો, શૈક્ષણિક સફર કેવો રહ્યો?A. 1995માં ધો.12માં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરી ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં એમબીબીએસ બનવાનો નિર્ણય કર્યો હતો.જેમાં સફળ થતાં મેરિટ બેઝ પર સરકારી સિવિલ બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદમાં પ્રવેશ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. સતત મહેનત અને ધગશથી એમબીબીએસ પાસ કર્યુ અને તેમાં પણ મેરિટ પર પ્રવેશ મેળવી એમડી રેડિયોલોજિસ્ટ અમદાવાદની કોલેજમાં કર્યું. બાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં શૈક્ષણિક ક્ષેત્રે ઝંપલાવવા પ્રોફેસરની ઉપાધિ મળી.પ્રથમ સુરતમાં આસિ.પ્રોફેસર અને બાદમાં એસોસિએટ પ્રોફેસરની પદવી મળી.જેમાં જીવનના 14 વર્ષનો સંઘર્ષ હતો. આ લક્ષ્ય પણ મેરિટ બેઝ પર પાર પાડી ઉચ્ચ પદવીની સિધ્ધિ પ્રાપ્ત થઇ. Q. સિવિલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આવતાં હજારો દર્દીની સારવારનો શક્તિ સ્ત્રોત શું છે?A. સુરતની સિવિલ હોસ્પિટલમાં નોકરી મળી અને તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી ત્યારે વલસાડ ખાતે 400 તબીબી સ્ટુડન્ટની ક્ષમતા ધરાવતી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ફરજ બજાવવા નિમણૂંક મળી. તબીબી વિદ્યાર્થીઓને ભણાવવા સહિતની જવાબદારી માટે 2012થી વલસાડમાં સિવિલ અને મેડિકલ કોલેજની વિશાળ હોસ્પિટલના મોટા કાફલા સાથે 11 વર્ષથી ફરજ બજાવવાનો આત્મવિશ્વાસ અને શક્તિનો મુખ્ય સ્ત્રોત દર્દીઓની સારવાર માટેની સંવેદનશીલતાનો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:અસ્ટોલ ગામમાં પીવાના પાણીનું સંકટ કરોડોની યોજના છતાં ગ્રામજનો તરસ્યા

કપરાડા તાલુકાના અસ્ટોલ ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કરોડો રૂપિયાની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના જે ગામના નામ પરથી બનાવી તેજ ગામમાં પાણી માટે લોકોના વલખા 586 કરોડની યોજના ગામમાંથી પસાર થતી હોવા છતાં ગામના લોકોને પૂરતું પાણી મળતું નથી, જેના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.હાલમાં તો દિવા તળે અંધારું જેવી સ્થતિ ઉભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. 586 કરોડના ખર્ચે અમલમાં મુકાયેલી આ મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ કપરાડા અને ધરમપુર તાલુકાના 175થી વધુ ગામો અને 500થી વધુ ફળિયામાં ઘરઘર નળ દ્વારા પાણી પહોંચાડવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. પરંતુ જમીનસ્તરે હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. અસ્ટોલ ગામના ડુંગરપાડા, બીજાપાડા અને નીચલા ફળિયામાં હજુ સુધી પાણી પહોંચતું નથી. ગ્રામજનોને આશરે 2 કિલોમીટર દૂર આવેલા કૂવામાંથી પાણી લાવવા જવું પડે છે, જે રોજિંદા જીવન માટે મોટી મુશ્કેલી બની રહી છે. ગામના સરપંચ રાજુભાઈ નવસુભાઈ શીંગડા અને ડેપ્યુટી સરપંચ ગોપજીભાઈ લાનુભાઈ તેમજ અન્ય આગેવાનો દ્વારા અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘરઘર નળ યોજના હોવા છતાં મોટાભાગની પાણીની ટાંકીઓ બંધ હાલતમાં છે. પાણી નહી મળે તો ચૂંટણીનો બહિષ્કાર અસ્ટોલ ગામમાં આશરે 3 હજારની વસ્તી વસે છે, છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. તેમણે ચેતવણી આપી કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં થાય તો આગામી ચૂંટણીમાં ગ્રામજનો મતદાનથી દૂર રહેશે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે કરોડોની આ યોજનાનો વાસ્તવિક લાભ લોકોને મળે અને અસ્ટોલ ગામમાં નિયમિત તથા સ્વચ્છ પાણી પુરવઠો તાત્કાલિક શરૂ કરાશે.> રાજુભાઈ શીંગાડા, સરપંચ

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ:દ. ગુ.ના 1 હજારથી વધુ માછીમારો ઇરાનથી અરમાનિયા રવાના, બે દિ’માં વતન આવી શકે

અમેરિકા,ઇઝરાયેલ અને ઇરાન યુધ્ધના કારણે ભારત અને ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના શિપિંગ કંપનીઓમાં નોકરી કરતાં શિપમેન્સ, ફિશરમેન તથા અન્ય ભારતીય કામદારો મળી 1 હજાર લોકો યુધ્ધના કારણે ફસાઇ ગયા છે.તેઓ ઇરાનથી ભારત આવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વર્કરોએ શુક્રવારે સોશ્યિલ નેટવર્ક પર એક વીડિયો પોસ્ટ કરી ઇરાનથી વહેલી તકે ઇન્ડિયા પહોંચાડવાની વિનંતિ કરી છે.ખુબ જ કપરી પરિસ્થિતિમાં મૂકાઇ ગયેલા આ ગુજરાતી કામદારો જલદીથી પોતાના વતનની ધરતી પર આવવા તલપાપડ બન્યા છે. ઇરાન પર અમેરિકા ઇઝરાયેલે બોમ્બમારો ચાલૂ જ રાખતાં યુધ્ધ ગંભીર બની રહ્યું છે.ઇરાને પણ જબરદસ્થ બોમ્બમારો કરી અમેરિકાને જવાબ આપતાં યુધ્ધ વધુ ઉગ્ર બનવા તરફ જઇ રહ્યું છે.ત્યારે દક્ષિણ ગુજરાતના માછીમારો,શિપિંગ કંપનીઓમાં નોકરી કરતા સીમેન્સ સહિત ગુજરાતી ફિશરમેનો ભયજનક સ્થિતિમાં મૂકાયા છે. અમેરિકા ઇઝરાયેલના હુમલાથી હચમચી ગયેલા આ ગુજરાતી કામદારો ભારત આવવા પ્રયત્નો હાથ ધર્યા છે.યુધ્ધગ્રસ્ત પરિસ્થિતિમાં જીવન જીવવાની કઠિન સ્થિતિ અસહ્ય બની છે. ચાલૂ બસમાં કામદારે વીડિયો થકી મેસેજ મોકલાવ્યો ગુજરાતના ફિશરમેન્સ,ઇન્ડિયન કામદારોનો જથ્થો બસ પકડીને ઇરાનના અરમાનિયા તરફ જવા નિકળ્યાો છે.યુધ્ધના હુમલાઓના સતત ભય વચ્ચે આ ગુજરાતીઓએ ચાલૂ બસમાં સવાર થઇ એક વીડિયો સોશ્યિલ નેટવર્કમાં પોસ્ટ કર્યો છે,જેમાં ગુજરાતી ભાષામાં તેમણે ભારત સરકારને ઉદ્દેશી સંદેશો જારી કર્યો છે અને જેમ બને તેમ તે તમામને ઇન્ડિયન ગર્વન્મેન્ટ ઇરાનથી ભારત પહોંચડવા અપીલ કરી છે. જલ્દીથી વતન પહોંચાડો: માછીમારો અમો ઇન્ડિયન્સ, શિપમેન્સ, ફ િશરમેન્સ સહિત 1000થી વધુ લોકો ઇરાનથી અરમાનિયા ખાતે જવા નિકળ્યા છે.હાલે અરમાનિયા બોર્ડર ક્રોસ કરી ગયા છે. બે દિવસમાં અરમાનિયા પહોંચી જઇશું. સરકારને રિક્વેસ્ટ છે કે જલદીથી ઇરાનથી ઇન્ડિયા પહોંચાડે તેવી આશા રાખીએ છીએ.અમને રાહત આપે. જિલ્લાના દાંડીદાંતીના‎અંદાજિત 150 ફિશરમેન છે‎વલસાડ જિલ્લાના દાંડી દાંતી કકવાડી વિસ્તારમાંથી‎ઇરાન ગયેલા ફિશરમેનો અંદાજિત દોઢસો જેટલી‎છે,જેમના પરિવારોએ દાંતીના અગ્રણી ભાજપ હોદ્દેદાર‎અમ્રતભાઇ ટંડેલનો સંપર્ક કર્યો હતો. તેમણે નામ‎સરનામા પરિવારો પાસેથી લઇ સાંસદ ધવલ પટેલને‎ભારત સરકાર દ્વારા વહેલી તક વતન પરત લાવવા‎અંગે રજૂઆત પણ કરી હતી. જો કે હાલ જે વીડિયો‎જારી કરાયો તેની જાણ નથી.> ગીરીશ ટંડેલ, કોસંબા‎

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

વિતરણ:પારનેરાના અધ્યાપકે આંગણવાડીના બાળકોને બિસ્કિટનું વિતરણ કર્યું

સફળતાનું શિખર ગમે તેટલું મોટું હોઈ, પણ મૂળ તો વતન ની માટી મા જ હોઈ ​ ‘વતનનું વહાલ’ ગમે તેટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ વ્યક્તિને પોતાની માટી સાથે જોડી રાખે છે. પારનેરા ના સેવાભાવી અધ્યાપક હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા એ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને પોતાના વતનની આંગણવાડીની મુલાકાત લીધી હતી.​ ભાવી ભારતના ઘડવૈયાઓ સાથે સંવાદ મુલાકાત દરમિયાન તેઓએ આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે આત્મીયતાથી સમય વિતાવ્યો હતો. તેમણે બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને રમત-ગમત દ્વારા તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આંગણવાડીના આ બાળકો જ ‘ભાવી ભારત’ના સાચા ઘડવૈયા છે. મુલાકાતના સ્મરણરૂપે અને બાળકો પ્રત્યેના સ્નેહભાવથી, અધ્યાપક દ્વારા તમામ બાળકોને ગ્લુકોઝ બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોના ચહેરા પરની નિર્દોષ સ્મિત જોઈને ત્યાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પણ આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. આપણે આપણા વતનના બાળકોના શિક્ષણ અને પોષણ માટે થોડો પણ ફાળો આપી શકીએ, તો તે આપણા માટે સૌભાગ્યની વાત છે. આ પ્રેરણાદાયી પહેલ દ્વારા તેમણે સમાજને સંદેશ આપ્યો છે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના વતન અને શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા રહીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

આયોજન:બેરેજના 18 દરવાજા રિપેર કરવા 15મીથી સાબરમતી ખાલી કરાશે; 15 જૂન પહેલાં કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક

સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 30માંથી 18 ગેટનું રિપેરિંગ કરવામાં આવશે. આ માટે 15 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે. સાથે સાથે સુભાષબ્રિજના જૂના સ્પાન તોડી નવા સ્પાન માટે જરૂરી કામગીરી શરૂ કરાશે. 60 દિવસના સમયમાં મહત્તમ કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. મ્યુનિ. દ્વારા 90 લાખથી 1 કરોડ લીટર જેટલા પાણીનો જથ્થો આગળ છોડી દેવાશે. અગાઉ જે રીતે નદી ખાલી કરતાં તેમાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું તે પ્રકારનું સફાઇ અભિયાન આ વખતે થવાની શક્યતા દેખાતી નથી. 15 એપ્રિલથી ગેટ બદલવાની કામગીરી શરૂ કરવામાં આ‌વશે. જે કામગીરી 60 દિવસમાં પુર્ણ કરવી પડશે. કેમકે 15મી જુનથી ચોમાસુ શરૂ થઇ જાય તેમ કહી શકાય. નદી ખાલી થતાં આસપાસના 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોએ અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડશે. આ રીતે ગેટ રિપેર કરાશેક્રેન દ્વારા ગેટને હીંજ પરથી કાઢવામાં આવશે. સાઇટ પર જ ગેટમાં કોઇ ક્ષતિ હોય તો તેને રીપેર કરવામાં આ‌વશે. ગેટનું અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ થશે. પ્લેટ અને રિબ્સને રિપેરિંગ કરાશે. પાણી લીકેજ અટકાવવા સાઇડ સીલ અને બોટમ સીલને બદલાશે. ગેટ પર એન્ટિ કોરોશન કોટિંગ કરાશે. ગેટને રિઇન્સ્ટોલ કરીને તેનું ટેસ્ટિંગ કરાશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

રેસ્ટોરાંએ મેનુમાં 5થી 10 ટકા સુધીનો વધારો કર્યો:કોમર્શિયલ ગેસમાં ભાવ વધારાથી હોટેલ, રેસ્ટોરાંમાં જમવાનું 10% સુધી મોંઘું થયું

કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં થયેલા રૂ.220ના તોતિંગ વધારાએ ગુજરાતના હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગની કમર તોડી નાખી છે. ખાસ કરીને અમદાવાદમાં ગેસ બોટલ પર આધારિત નાની અને મધ્યમ રેસ્ટોરાંએ મેનુમાં 5થી 10 ટકા સુધીનો વધારો કર્યો છે. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, વધેલા ખર્ચને પહોંચી વળવા માટે ચાની કિંમતમાં રૂ.2 થી રૂ.5 અને થાળી કે પંજાબી ડિશમાં રૂ.20થી રૂ.50 સુધીનો વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મોટી હોટલો જ્યાં પાઇપલાઇન (PNG) સુવિધા છે ત્યાં ભાવ યથાવત હોવાથી નાના વેપારીઓ માટે અસમાન સ્પર્ધા ઊભી થઈ છે. મંદીના માહોલમાં ભાડું, સ્ટાફનો પગાર અને હવે મોંઘા ગેસને કારણે વેપારીઓ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. કેટલીક હોટેલ-રેસ્ટોરાંના સંચાલકોનું કહેવું છે કે, કાચો માલો શાકભાજી, તેલ અને અન્ય મસાલાના ભાવ વધવાના કારણે મેનુ રિવાઈઝ કરવું અનિવાર્ય બન્યું છે. તેમજ ભાડું અને મજૂરોની અછતના કારણે વધેલા પગાર ખર્ચને સરભર કરવા ભાવ વધારો જરૂરી બન્યો છે. પાઈપલાઈન ગેસ ધરાવતી હોટેલોએ વધારો કર્યો નથીહોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ હાલ મંદીમાં ચાલી રહ્યો છે, તેથી ભાવ વધારો કરવો પોસાય તેમ નથી. છતાં ગેસ બોટલનો ઉપયોગ કરતા વ્યવસાયકારો માટે ખર્ચ વધવાથી અમુક વસ્તુઓમાં 5થી 10 ટકા વધારો કરવો મજબૂરી બની છે. જ્યારે પાઇપલાઇન ગેસ ધરાવતા હોટલોમાં આ વધારો લાગુ પડતો નથી. - નરેન્દ્ર સોમાણી, પ્રમુખ, ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

સરકાર જાગી:અસલી કે એનાલોગ પનીરનું બોર્ડ હોટેલ-રેસ્ટોરાંએ લગાવવું પડશે

રાજ્યમાં પામોલીન ઓઈલમાંથી બનતા ‘એનાલોગ પનીર’ના વધતા વ્યાપ સામે સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આદેશ આપ્યો છે કે હવેથી દરેક હોટેલ-રેસ્ટોરાંમાં પીરસાતું પનીર અસલી છે કે એનાલોગ, તેનું સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિપુલ રાણાના જણાવ્યા મુજબ, ફૂડ સેફ્ટી એક્ટ-2006 હેઠળ માહિતી છુપાવનાર એકમોને રૂ.2 લાખ સુધીનો દંડ થઈ શકે છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ.1.80 કરોડની કિંમતનું 45 હજાર કિલો નકલી પનીર ઝડપાયું છે, જેમાં અમદાવાદના માધુપુરા અને ઓઢવ મુખ્ય કેન્દ્રો બન્યા છે. સસ્તું હોવાથી તેનો ઉપયોગ વધ્યો છે, પરંતુ ગ્રાહકોને તેની જાણકારી આપવી હવે કાયદેસર રીતે અનિવાર્ય છે. નકલી પનીરથી બ્લડ પ્રેશર સહિતની બીમારીનો ખતરોદૂધના ફેટને બદલે સસ્તું પામોલીન ઓઈલ, સ્કિમ્ડ મિલ્ક પાવડર અને કેમિકલ ઈમલ્સિફાયરના મિશ્રણથી બને છે. તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોવાથી હાર્ટ એટેક, બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

કરુણાંતિકા સર્જાઈ:નવસારીમાં પિતાની જ કારની‎ અડફેટમાં આવતા પુત્રનું મોત‎

નવસારીના છાપરા ગામે પિતાએ જ અજાણતામાં પોતાની કાર ગફલતભરી રીતે રિવર્સ લેતા અથવા હંકારતા પોતાના 2 વર્ષના માસૂમ પુત્રને અડફેટમાં લીધું હતું. કાર અડફેટમાં આવતા પુત્રનું મોત નિપજ્યું છે. નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 1 એપ્રિલના રોજ રાત્રે આશરે 9.30 વાગ્યે છાપરા રોડ પર આવેલી ખોડીયારનગર સોસાયટીમાં આ ઘટના બની હતી. અબ્રામા ગામે રહેતા ભાવિનભાઈ ગોવિંદભાઈ પટેલ પોતાની કાર (નં. GJ-21 Y-9396) ચલાવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાની કાર ગફલતભરી રીતે રિવર્સમાં લેતા અથવા હંકારતા પોતાના જ 2 વર્ષીય પુત્ર રીશીવને અડફેટમાં લીધો હતો. અકસ્માતમાં રીશીવને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતક બાળકના મામા હાર્દિકભાઈ પટેલે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભાવિનભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એમ.એલ. સૈયદે હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

વેધર રિપોર્ટ:બપોરમાં 35 ડીગ્રી તાપમાન,‎સવારે 93% ભેજથી ઉકળાટ‎

નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) દ્વારા જાહેર કરાયેલા 3 એપ્રિલ 2026ના હવામાન મુજબ શહેરમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધુ નોંધાયું છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા ગરમીનો અનુભવ થયો હતો, જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ ઊંચું રહી 93 ટકા સુધી પહોંચી ગયું હતું, જેના કારણે ગરમી સાથે ભેજનો ઉકળાટ અનુભવાયો હતો. જોકે સાંજે ભેજ ઘટીને 38 ટકા રહેતાં વાતાવરણમાં થોડી રાહત મળી હતી. પવન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતો રહ્યો હતો અને તેની ગતિ 4.4 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી, જેનાથી વાતાવરણ સામાન્ય રીતે સ્થિર રહ્યું હતું. હાલના હવામાનને જોતા આગામી દિવસોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે ભેજના ફેરફારને કારણે લોકોને દિવસ દરમિયાન ઉકળાટ અને સાંજે થોડી રાહત અનુભવાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

કરુણાંતિકા સર્જાઈ:હાંસાપોરના તળાવમાં નાહવા પડેલા‎ વિજલપોરના કિશોરનું ડૂબી જતા મોત‎

જલાલપોર તાલુકાના હાંસાપોર ગામની સીમમાં આવેલ તળાવમાં નાહવા પડેલા વિજલપોરના 17 વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિજલપોરની એપ્પલ રેસિડેન્સીમાં રહેતો આયુષ ઉર્ફે ટપ્પુ જતિનભાઇ કોસાડીયા (ઉ.વ. 17) ગત 2 એપ્રિલના રોજ સાંજના સમયે તેના મિત્ર રાજ સાથે હાંસાપોર ગામની સીમમાં સર જે.જે. સ્કૂલની સામે નહેર પાસે આવેલા તળાવે ગયો હતો. સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં આયુષ તળાવના પાણીમાં નાહવા માટે પડ્યો હતો પરંતુ પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે મૃતકના મિત્ર રાજે વિજલપોર પોલીસ મથકે જાણ કરી હતી. મૃતક આયુષે ધો-12ની પરીક્ષા આપી હતી મૃતક આયુષ હાલમાં જ ધોરણ-12ની પરીક્ષા આપી હતી. તેમના પિતા જતીનભાઈ કોસડિયા વિદેશ નોકરી કરતા હોવાની માહિતી મળી છે. એક વર્ષ પહેલા જ એપ્પલ રેસિડેન્સીમાં રહેવા આવ્યા હતા. મૃતક આયુષ તેના મિત્રની બર્થડે હોય ફરવા ગયા હતા. પિતા વિદેશ નોકરી કરતા હોય શનિવારે ભારત આવનાર હોવાની માહિતી મળી છે. મનપા ક્યારે જાગશે? હાંસાપોર તળાવની ફરતે સુરક્ષા કે ચેતવણીના બોર્ડ જ નથીહાંસાપોર તળાવ ઊંડું હોય કિનારે ભયજનક અને ચેતવણી માટે કોઈ બોર્ડ પણ મૂક્યા ન હોવાની માહિતી સાંપડી છે. હાલમાં ઉનાળો હોય બાળકો પાણીમાં નાહવા માટે આવતા હોય કોઈ દુર્ઘટના ન થાય તે માટે મનપાએ બોર્ડ મૂકવું જોઈએ એવી લોકમાંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

બદલી:નવસારી જિલ્લા પોલીસ બેડામાં ફેરબદલ, 14 PI ની સામૂહિક બદલી

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાને રાખીને જિલ્લાના 14 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓમાં મોટાભાગના લીવ રિઝર્વમાંથી મુખ્ય પોલીસ મથકોમાં નિમણૂક પામ્યા છે. જે અંતર્ગત કે.ડી. નકુમની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં, પી.બી. પટેલીયાની ચીખલીમાં અને આર.એસ. પટેલની એસઓજીમાં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એન.આઈ. રાઠોડની ગણદેવી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે, જ્યારે એસ.એસ. પવારને વિજલપોરનો હવાલો સોંપાયો છે. મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપતા વી.કે. ઉંજીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, સાથે જ તેઓને આઇયુસીએડબલ્યુનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. અન્ય મહત્વની નિમણૂકોમાં એન.એમ. ચૌધરીને એલઆઈબીમાં અને એમ.કે.ગોસ્વામીને એએચટીયુમાં જવાબદારી સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

મનપાના નક્કર આયોજનના અભાવે‎ ઉદ્ભવી સમસ્યા:ભેંસતખાડા વિસ્તારમાં ચોમાસામાં ગટરના પાણી ઘરોમાં ઘૂસવાની ભીતિ

નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6માં આવેલા ભેંસત ખાડાથી વિરાવળ જકાતનાકા તરફ જતાં રિંગરોડ પર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બની રહી છે. આ વિસ્તારમાં આવેલી વરસાદી ગટર લાઇન વર્ષોથી અપૂરતી અને ક્ષતિગ્રસ્ત હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા હજુ સુધી કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં ગટરના પાણી ઉભરાઈને રોડ પર અને નીચાણવાળા ઘરોમાં ઘૂસી જાય છે, જેના કારણે લાખોનું નુકસાન થાય છે અને રોગચાળો ફેલાવાનો ભય રહે છે. ઉનાળો પૂરો થવા આવ્યો હોવા છતાં મનપા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે. જો સમયસર ગટર લાઈનનું નવિનીકરણ કે સફાઈ કરવામાં નહીં આવે, તો આ વર્ષે પણ ચોમાસામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જશે તે નક્કી છે. તંત્ર વહેલી તકે જાગે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન જ્યારે પણ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે સૌ પ્રથમ શહેરમાં આ ભેંસતખાડા વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થાય છે અને ગણતરીના કલાકોમાં જ આખો વિસ્તાર પાણીમાં ગરક થઇ જવા પામે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:ખાનપુરમાં વાને બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ગંભીર ઇજાથી મોત

વાંસદા તાલુકાના ખાનપુર ગામ પાસે ધરમપુર તરફથી બાઈકનો હપ્તો ભરીને ઘરે પરત ફરતા હતા ત્યારે મારૂતિ વાન ચાલકે અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા છાતી તથા ગંભીર ઈજાઓ થતા પ્રથમ ધરમપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં લઈ જતા રાત્રીના સમય ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. વાંસદા તાલુકાના ખાનપુર ચાર રસ્તા પાસેથી વધઈ તાલુકાના બોર દહાલ ગામે રહેતા રામચંદ્ર લક્ષ્મણ ભાઈ ભોંયે ઉમ્ર 20 વર્ષ એ ડ્યુક બાઇક નંબર જીજે.15. ઇડી.6915 લઈને ધરમપુર ગામે બાઈકનો હપ્તો ભરીને ત્યાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન મારુતિ વાન નંબર જી.જે.15. PP. 5254 નો ચાલક પ્રવીણ ઝીણાભાઇ પવાર (રહે.ધોલાર રાનપાડા ફળિયું તાલુકો ચીખલી)એ બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા પ્રથમ ધરમપુર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં રામચંદ્ર ભોંયેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મરનારના ભાઈ સુનિલ ભોંયેએ મારુતિવાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અચાનક બનેલી ઘટનાએ યુવાનનો જીવ લીધો હતો. જેને લઇ તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ લખાઇ છે ત્યાં સુધીમાં પોલીસે વાન ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

નિકોમાં રોષ ફેલાયો:રાનવેરીખુર્દમાં 40થી વધુ ગ્રાહકો ગેસ જોડાણથી‎ વંચિત, ઓનલાઈન નાણાં ચૂકવ્યા છતાં ઠાગાથૈયા‎

ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામમાં ગુજરાત ગેસમાં પીએનજીના જોડાણ માટે અરજી કર્યાને બે વર્ષ જેટલો સમય વીતવા છતાં જોડાણ આપવામાં ઠાગાથૈયા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. રાનવેરીખુર્દ ગામના ગુજરાત ગેસની બીલીમોરા કચેરીમાં કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે રાનવેરીખુર્દ ગામમાં ખરોલી ચાર રસ્તા વિસ્તારમાં 40થી વધુ ગ્રાહકોએ ઘરેલુ ગેસના જોડાણ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરી નિર્ધારિત રકમની ચૂકવણી પણ ઓનલાઈન કરી હતી. ચૂકવણી કર્યા પછી પણ આજદિન સુધી ગામમાં ગેસ પાઇપ લાઇન નાંખવાની અથવા કનેક્શન આપવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે ઘણા ગ્રાહકોએ કસ્ટમર કેર તથા ઓફિસમાં રજૂઆત કરી હોવા છતાં યોગ્ય જવાબ મળ્યો નથી. આ મુજબની લેખિત રજૂઆત કર્યાને બે મહિના જેટલો સમય વીતી ગયો છે. ઉપરાંત જોડાણની માંગણી કરી નાણાંની ભરપાઈ કર્યાને તો બે વર્ષ જેટલો સમય વિતી ગયો છે પરંતુ ગેસ કંપની દ્વારા પીએનજીના જોડાણો રાનવેરીખુર્દમાં આપવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હાલ અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિમાં કોમર્શિયલ એલપીજી ગેસનો પુરવઠો પ્રભાવિત થતા સરકાર દ્વારા પીએનજીના જોડાણને પ્રાથમિકતા આપી હોવા છતાં ગેસ કંપની દ્વારા પીએનજીના જોડાણ માટે રીતસરના અખાડા કરવામાં આવી રહ્યા છે. આ માત્ર ચીખલી રાનવેરીખુર્દની જ વાત નથી પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ હોવાની ચર્ચા છે. બીલીમોરા ઓફિસમાં અવારનવાર રજૂઆત કરી તો પણ પરિણામ નહીંઅમારા ખરોલી ચાર રસ્તા વિસ્તારના રહીશો દ્વારા પીએનજીના જોડાણો માટે નાણાં ભરી દીધાને બે વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં જોડાણો અપાયા નથી. આ માટે અમે બીલીમોરા કચેરીમાં અવારનવાર રજૂઆત કરી છે.> નરેન્દ્રસિંહ પરમાર, રાનવેરીખુર્દ અધિકારીઓ સરખા જવાબ આપતા નથી અમારે ત્યાં અટગામ રોડ પર પીએનજીના જોડાણ માટે અમારી માંગણીને પગલે ગુજરાત ગેસ દ્વારા સર્વે કરાયા બાદ તપાસ કરતા અધિકારીઓ દ્વારા કોઈ સરખા જવાબ આપવામાં આવ્યા નથી. ઘેજમાં અટગામ રોડ ઉપરાંત ભવાની ફળિયા અને પહાડ ફળીયામાં પણ ઘણા જોડાણોની માંગ છે. > ભીખુભાઇ પટેલ, ઘેજ ભરડા સર્વેથી આગળ કોઇ તજવીજ હાથ ધરાઇ નથી ચીખલી તાલુકાના ઘેજ ગામે અટગામ રોડ પર પીએનજીના જોડાણો માટે ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા સર્વે થયાને ચારેક માસ જેટલો સમય વિતી ગયો છે. સ્થાનિક આગેવાનોની અવારનવારની રજૂઆત બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. ઘેજમાં અટગામ રોડ અને ભવાની ફળિયા તથા પહાડ ફળિયા મળી 50થી વધુ જોડાણોની માંગ ઉઠી છે પરંતુ ગેસ કંપની દ્વારા સર્વેથી આગળ કોઈ તજવીજ હાથ ધરાઈ નથી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:નવસારી તા.પ્રા. શિ. સંઘના શિક્ષકોની ક્રિકેટ ટુર્ના.માં 29 રનથી માહી ઇલેવન ચેમ્પિયન

નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યુનિટી કપ 2.0 એકતા સ્પોર્ટ્સ ક્લબ, નાગધરાના ક્રિકેટ મેદાન પર રમાઈ હતી. જેમાં નવસારી તાલુકાના 65 શિક્ષકોએ ભાગ લીધો હતો. માહી ઈલેવન, જે.બી.ટાઈગર્સ, અનાયા ઈલેવન અને લાલો ઈલેવન એમ ચાર ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. જેમાં માહી ઈલેવન ટીમ ચેમ્પિયન અને જે.બી.ટાઈગર્સ ટીમ રનર્સ અપ બની હતી. ફાઈનલ મેચમાં નિર્ધારિત 8 ઓવરમાં માહી ઈલેવને 94 રન કર્યા હતા. તેની સામે જે.બી.ટાઈગર્સ 65 રન કરી શકી હતી. એમ માહી ઈલેવનનો 29 રને વિજય થયો હતો. યુનિટી કપ 2.0 ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા અને શિક્ષક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજુવેન્દ્ર પટેલ, મહામંત્રી હિતેશ પટેલ, કાર્યાધ્યક્ષ ચંદ્રકાંત ગાયકવાડ, ખજાનચી ભાવેશ ટંડેલ, સહમંત્રી ધર્મેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નવસારી જિલ્લા ઘટક સંઘ ગણદેવીના પ્રમુખ કલ્પેશ ટંડેલ, ખેરગામના પ્રમુખ દિવ્યેશ ચૌહણ, વાંસદાના પ્રમુખ ભરત થોરાટ, ચીખલીના પ્રમુખ હિતેશ પટેલ, નવસારીના પ્રમુખ હેમંતસિંહ ચૌહાણ, જલાલપોરના પ્રમુખ નિલેશ પટેલ પણ હાજર રહ્યા હતા. નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી ફુલચંદ ભગતાણી અને નાગધરાના આગેવાન મુકુંદ પટેલે પણ શિક્ષકોને રમત થકી શારિરીક તંદુરસ્તી મેળવવા માટે અપીલ કરી હતી. મહાનુભવોના હસ્તે ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરિઝ અને બેસ્ટ બેટસમેન સુનિલ પટેલ અને બેસ્ટ બોલર જીતેન્દ્ર પટેલ બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

મોવડીમંડળે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવી:મનપાની ચૂંટણીની કોંગ્રેસની સંકલન સમિતિમાં નારાજ અગ્રણીઓને સ્થાન

નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખની જાહેરાત બાદ ભડકો થયા બાદ હવે જાહેર થયેલ સંકલન સમિતિમાં નારાજ અગ્રણીઓને પણ સમાવાતા મોવડીમંડળે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવી છે. થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસ દ્વારા નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખપદે દીપક બારોટની વરણી કરી હતી. આ બાબતે સ્થાનિક કોંગ્રેસમાં નારાજગી બહાર આવી અને મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરાઇ હતી. બાદમાં અગ્રણીઓ, કાર્યકરોએ રાજીનામા પણ ધરી દીધા હતા. મહાપાલિકાની ચૂંટણી ટાણે જ શહેર કોંગ્રેસમાં ભડકો થતા કોંગ્રેસ મોવડીઓ પણ ચિંતામાં મુકાયા હતા. આ દરમિયાન શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મનપાની ચૂંટણી અંતર્ગત એક 7 સભ્યોની સંકલન સમિતિની જાહેરાત કરાઈ હતી. આ સમિતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ ઉપરાંત રાજન જોશી, અસલમ સાયકલવાળા, ધનસુખ રાજપૂત ઉપરાંત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલ નીરવ નાયક, ધર્મેશ માળી, પ્રવીણ દેસાઈને પણ સંકલન સમિતિમાં સમાવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે નીરવ નાયક, ધર્મેશ માળી વગેરેએ બારોટની શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી સામે નારાજગી દર્શાવી છે. સંકલન સમિતિમાં નારાજ અગ્રણીઓને સમાવાતા તેને મોવડી મંડળ દ્વારા સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવાઈ હોવાની જોવાઈ રહ્યું છે. જોકે આ સમિતિ અને તેના સભ્યોની ટિકિટ ફાળવણીમાં શું ભૂમિકા રહેશે વગેરે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

શ્રમિકે કર્યો આપઘાત:ગણેશ સિસોદ્રા પાસે બુલેટ ટ્રેનના બ્રીજ ઉપર શ્રમિકે ફાંસો ખાધો

નવસારી જિલ્લાના ગણેશ સિસોદરા ગામની હદમાં બુલેટ ટ્રેનના નિર્માણાધીન બ્રીજ ઉપર એક શ્રમિકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ કબીલપોર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય પ્રોઢે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાની વિગતો મુજબ, નવસારીના કબીલપોર ગ્રીડ સ્થિત જનકપુરી સોસાયટીમાં રહેતા અને હેલ્પર તરીકે કામ કરતા નારાયણ કર્માકર (ઉ.વ. 43) નાઓએ ગત તા. 1 એપ્રિલની રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનો નિર્ણય લીધો હતો. તેઓએ ગણેશ સિસોદરા ગામની સીમમાં સ્થિત બુલેટ ટ્રેન બ્રીજના પીલર નં. 23/276 અને 23/278 વચ્ચે, બ્રીજ ઉપર આવેલી લોખંડની એંગલ સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એલ. સૈયદ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકની સહ કર્મીઓ સાથે મારામારી પણ થઇ હોવાની ચર્ચા હોવાથી તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

'સર'ની અસર:નવસારી જિ.પંચાયતની ચૂંટણીમાં 5 વર્ષમાં ‎મતદાર વધવાની જગ્યાએ 45 હજાર ઘટ્યા‎

નવસારી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં 5 વર્ષમાં મતદારો વધવાની જગ્યાએ 45 હજાર જેટલા મતદારોનો ઘટાડો થયો છે. 4 ગામો શહેરમાં જતા તથા ‘સર’ના કારણે મતદારો કમી થતા આ સ્થિતિ બની છે. નવસારી જિલ્લા પંચાયતની પણ ચૂંટણી જાહેર થઈ છે, જે માટે 26 એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી માટે મતદારોની સંખ્યા જે બહાર આવી છે તે જોતા 7.32 લાખ જેટલી છે. સામાન્યતઃ ભૂતકાળમાં દર 5 વર્ષે વસતી વધતા મતદારોની પણ સંખ્યા વધતી હોવાનું જોવાયું છે પણ આ વખતે વધવાની સંખ્યા ઘટી છે. ગત ચૂંટણીમાં 7.77 લાખ મતદારો હતા.આમ 45 હજાર જેટલો ઘટાડો થયો છે. નવસારી જિલ્લા પંચાયતમાં મતદાર ઘટવાના મુખ્ય બે કારણ છે. પહેલું કારણ ગત ચૂંટણીની સરખામણીએ 4 ગામો ઓછા છે. નવસારી નજીકના દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોરના મતદારોએ ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. જોકે હવે આ ગામો નવસારી મહાપાલિકામાં ભેળવી દેવાતા આગામી ચૂંટણીમાં પંચાયતમાં મતદાન કરશે નહી. બીજું કારણ ખાસ મતદાર સુધારણા ઝુંબેશ ‘સર' છે. આ ઝુંબેશમાં જિલ્લા પંચાયતના ઘણા મતદારો કમી થયા છે, જે મૃતક, સ્થળાંતર યા ડુપ્લીકેટ વગેરે હતા. આ બે કારણોને લઈ મતદાર ગત ચૂંટણી કરતા ઘટ્યા છે. તમામ તાલુકામાં ઘટ્યા, જેમાં સૌથી વધુ જલાલપોરમાં અગામી ચૂંટણીમાં 5 વર્ષમાં મતદારો જે ઘટ્યા છે તે થોડા ઘણા તમામ તાલુકામાં ઘટ્યા છે, જેમાં સૌથી વધુ જલાલપોર તાલુકામાં અંદાજે 16 હજાર ઘટ્યા છે. અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો નવસારીમાં 8500થી વધુ, ગણદેવીમાં અંદાજે 9 હજાર, ચીખલીમાં 8 હજાર જેટલા છે. વાંસદામાં એકાદ હજાર જેટલા અને ખેરગામમાં વધુ ઘટાડો નથી. તાલુકા પંચાયતોના મતદાર પણ ઘટ્યા જિલ્લા અને તાલુકા પંચાયત બન્નેમાં ગામડાઓ આવે છે. બન્ને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આમ તો અલગ છે પણ તેમાં મતદારો એક જ હોય છે જેને લઈ છેલ્લા 5 વર્ષમાં જિલ્લાની તાલુકા પંચાયતોના મતદાર પણ ઘટ્યા છે.જલાલપોર તાલુકા પંચાયતના મતદાર વધુ ઘટ્યા છે. પ્રમુખપદ મહિલા હોય મહિલાઓમાં રેસ લાગીનવસારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન તો 26 એપ્રિલના રોજ થઈ રહ્યું છે પણ ત્યારપછી પ્રમુખ કોણ બનશે તેના પાસાં અત્યારથી ગોઠવાઈ રહ્યાની જાણકારી મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના આગામી પ્રથમ અઢી વર્ષ માટેના પ્રમુખની બેઠકનું અનામત રોટેશન જાહેર થયું છે,જે મહિલા બિન અનામત છે. પ્રમુખ મહિલા બનનાર હોય અત્યારથી જ પ્રમુખ બનવા ખાસ કરીને ભાજપમાં હોડ જામી ગઈ છે અને પાસાં પણ ગોઠવાઈ રહ્યાની જાણકારી મળી છે.કોંગ્રેસમાં પણ મહિલા અગ્રણીઓ રેસમાં છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ચૂંટણીઓ નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા તંત્ર સક્રિય:ભરૂચમાં આચારસંહિતાના અમલમાં ફરિયાદ‎માટે મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક‎

ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાઈ શકે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ ચૂંટણી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તથા રજાઓ પર પ્રતિબંધ મુકાયો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયુક્ત મદદનીશ નોડલ અધિકારીઓને આચારસંહિતાના ભંગ અંગે મળતી ફરિયાદોની તાત્કાલિક તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવાની જવાબદારી સોંપાઈ છે. ચૂંટણી સંબંધિત ફરિયાદોના નિવારણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકને જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાલુકા સ્તરે તમામ તાલુકા વિકાસ અધિકારીઓઅને નગરપાલિકાઓમાં મુખ્ય અધિકારીઓને મદદનીશ નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે આચારસંહિતાના ભંગ અંગે કોઈ પણ ફરિયાદ તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરે, જેથી સમયસર યોગ્ય થઈ શકે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

વેરા વસૂલાતની કામગીરી:મિલકતો વધતા આવકમાં 46 લાખનો‎ ઉછાળો, વસૂલાતમાં 2.66%નો ઘટાડો‎

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતની ઝુંબેશ પૂર્ણ કરવામાં આવી છે. પાલિકાની અલગ-અલગ ટીમોએ તમામ વોર્ડમાં કરેલી કામગીરીને અંતે કુલ ₹13.32 કરોડના લક્ષ્યાંક સામે ₹9.64 કરોડની વસૂલાત કરવામાં સફળતા મળી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ આવકમાં ₹46 લાખનો વધારો નોંધાયો છે. પાલિકા વિસ્તારમાં મિલકતોની સંખ્યા વધવાને કારણે વસૂલાતની ટકાવારીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે 74.92% વસૂલાત થઈ હતી, જેની સામે આ વર્ષે 72.26% વસૂલાત નોંધાઈ છે. આમ, ટકાવારીમાં 2.66%નો ઘટાડો થયો છે, પરંતુ મિલકતો વધતા કુલ આવક વધી છે. શહેરમાં 34,000 થી વધુ મિલકત ધારકો પાસેથી આ વેરો વસૂલવામાં આવ્યો છે. વ્યવસાય વેરામાં ₹1.83 કરોડના ડિમાન્ડ સામે ₹1.58 કરોડની વસૂલાત થઈ છે. ગત વર્ષે 87.02% વસૂલાત સામે આ વર્ષે 86.29% વસૂલાત થઈ છે. ટકાવારીમાં અડધા ટકાનો નજીવો ઘટાડો હોવા છતાં, ગત વર્ષ કરતા ₹15 લાખ વધુ વ્યવસાય વેરો સરકારી તિજોરીમાં જમા થયો છે. હાઉસ ટેક્સ વિભાગ વાર્ષિક આવક વ્યવસાય વેરો વાર્ષિક આવક ઝુંબેશ પૂર્ણ : લક્ષ્યાંક સામે ₹9.64 કરોડની વસૂલાત કરવામાં આવીઅંકલેશ્વર નગરપાલિકાની અલગ-અલગ ટીમો દ્વારા તમામ વોર્ડમાં વેરા વસૂલાતની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. વર્ષ 2025-26 માટે કુલ ₹13.32 કરોડના લક્ષ્યાંક સામે ₹9.64 કરોડની વસૂલાત કરવામાં પાલિકાને સફળતા મળી છે. ગત વર્ષની સરખામણીએ કુલ આવકમાં ₹46 લાખનો વધારો નોંધાયો છે, જોકે મિલકતોની સંખ્યા વધતા ટકાવારીમાં 2.66%નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. હવે 1 મેથી બાકીદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

ચૂંટણીને લઇ ભાજપની નવી રણનીતિ‎:ઉમેદવારીપત્રો ભરવા આડે આઠ દિવસ બાકી ઉમેદવારોને ફોન પર સૂચના આપવામાં આવી

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની 348 બેઠકો માટે 26મીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 11મી નકકી કરવામાં આવી છે. 11મીએ ફોર્મ ભરવા આડે માત્ર 8 દિવસ બાકી રહયાં છે ત્યારે ભાજપે ઉમેદવારોને ફોન પર સૂચના આપી તેમના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દીધી છે. ભરૂચ જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકામાં થનારી ચૂંટણી પહેલાં ભાજપે તમામ ઉમેદવારો લગભગ નકકી કરી દીધાં છે. પ્રદેશમાંથી નિરિક્ષકો મોકલીને બે દિવસ સેન્સ લેવાની ઔપચારિકતા પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાજપે નકકી કરેલાં ઉમેદવારોને ફોન કરીને તેમના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. અંકલેશ્વર પાલિકાની 36 બેઠકો માટે ભાજપમાંથી 146 દાવેદારો નોંધાયાં છે. 36 બેઠક માટે ભલે 146 દાવેદારો હોય પરંતુ ભાજપે તમામ 36 ઉમેદવાર નકકી કરી દીધાં છે અને તેમને ફોન કરીને દસ્તાવેજો તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે જેથી તેઓ 11મીએ ઉમેદવારીપત્રો ભરી શકે. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી માટે દાવેદારી કરનારા અનેક દાવેદારોને ફોન કરીને દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવી છે. કેટલાક ઉમેદવારો પાસેથી તો દસ્તાવેજો લઇને તેમના ફોર્મ પણ તૈયાર કરવામાં આવી રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકામાં મોટાભાગના નગરસેવકોને ઘરે બેસાડીને તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવશે. જેના પર ફોન આવ્યાં છે તેમાંથી મોટાભાગના નવા ચહેરા છે અને પ્રથમ વખત જ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે જઇ રહયાં છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

જિલ્લાનું તાપમાન ઘટી 33 ડિગ્રી નોંધાયું‎:ભરૂચમાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતાં રાહત થઇ

ભરૂચ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ગુરુવારે રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા. તો આજે શુક્રવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ગત રોજ કરતાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં ઘટાડો થતા સવારે અને સાંજે ઓછી ગરમી અનુભવાઇ હતી. આમ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધીને 30 ટકાની આસપાસ અને પવનની ગતિ 21 કિમી પ્રતિ કલાકની આસપાસ રહી હતી. પવનની ગતિમાં વધારો થતાં ખેડૂતોને ખેતી પાકમાં દવાનો છંટકાવ નહીં કરવા માટે સલાહ આપી છે. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ ખેતી પાકમાં જરૂરિયાત મુજબ પિયત આપવું અને ખેતરમાં તૈયાર પાકને સુરક્ષિત જગ્યાએ મૂકવા માટે સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાનમાં પેટ્રોલ 450, ડીઝલ 500 રૂપિયા પાર; AAPએ કહ્યું- મોદીથી ડર્યા રાઘવ ચઢ્ઢા, ચૈત્રમાં અષાઢી માહોલ

નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ₹450ને પાર કરી ગયા હોવાના રહ્યા. બીજી તરફ, ઈરાને અમેરિકાના F-35 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી કેરળના તિરુવનંતપુરમ અને તિરુવલ્લામાં ચૂંટણી સભા અને રોડ શો કરશે. 2. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) ની અનિવાર્યતાના વિરોધમાં દેશભરના શિક્ષકો દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રદર્શન કરશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને અમેરિકાનું F-15 પ્લેન તોડી પાડ્યું, પાયલટની શોધ ચાલુ; ઈરાને કહ્યું, મિડલ ઈસ્ટના તમામ બ્રિજ તોડી નાખીશું ઈરાનમાં તોડી પાડવામાં આવેલા યુએસ ફાઇટર જેટના પાઇલટની શોધ ચાલુ છે. યુએસ અધિકારીઓએ પણ પુષ્ટિ આપી છે કે શોધ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ક્રૂ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. અગાઉ ઈરાને એક અમેરિકન ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ઈરાની મીડિયાએ તેને F-35 સ્ટીલ્થ ફાઇટર તરીકે વર્ણવ્યું હતું, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. દરમિયાન, કેટલાક નિષ્ણાતો કહે છે કે ઈમેજમાં દેખાતું વિમાન F-35 નહીં પણ F-15 હોઈ શકે છે. આ દાવાઓ પર અમેરિકા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'ખામોશ કરાયા હૈ-હારા નહીં હૂં, સુનામી બનકે આઉંગા':ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ AAPએ રાઘવ ચઢ્ઢાને કહ્યું- મોદીથી ડરેલાં વ્યક્તિ હવે શું લડવાના? આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવાને લઈને શુક્રવારે પ્રથમ પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યો, પરંતુ હું હાર્યો નથી. આમ આદમીને આ મારો સંદેશ છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મેં જનતાના મુદ્દા ઉઠાવ્યા, તેનાથી AAPને શું નુકસાન થયું? વીડિયોના અંતમાં તેમણે AAPને ચેતવણી આપી કે અવાજ ચૂપ કરાવનારાઓ સામે હું સુનામી બનીને આવીશ. જોકે, રાઘવે ન તો પાર્ટીના કોઈ નેતાનું નામ લીધું અને ન તો પાર્ટી છોડવા કે આગળની રણનીતિ વિશે કંઈ કહ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો:પેટ્રોલના 450, ડીઝલ 500 રૂપિયે લીટર; ઈરાન યુદ્ધની અસર પાકિસ્તાનમાં પહેલીવાર ડીઝલ-પેટ્રોલ સૌથી મોંઘું થયું છે. એક લિટર પેટ્રોલ 458 અને ડીઝલ 520 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)ને પાર પહોંચી ગયું છે. સરકારે પેટ્રોલની કિંમતોમાં 43% અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં 55%નો વધારો કર્યો છે. આ નિર્ણય અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળા બાદ લેવામાં આવ્યો છે. નવા દરો ગુરુવાર મધ્યરાત્રિથી લાગુ થઈ ગયા છે. વધારા બાદ પાકિસ્તાનમાં હવે પેટ્રોલ 458.41 અને ડીઝલ 520.35 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. કેરોસીનના ભાવ પણ 34.08 રૂપિયા વધારીને 457.80 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. માલદા હિંસાનો માસ્ટરમાઇન્ડ એરપોર્ટ પરથી અરેસ્ટ:ભાગી જવાની ફિરાકમાં હતો; ન્યાયિક અધિકારી બંધક કેસમાં NIA એ પણ તપાસ શરૂ કરી પશ્ચિમ બંગાળના માલદામાં હિંસાના 48 કલાકની અંદર પોલીસે માસ્ટરમાઇન્ડ મોફક્કરુલ ઇસ્લામને પકડ્યો છે. મોફક્કરુલને બાગડોગરા એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો, જ્યાં તે ભાગવાની ફિરાકમાં હતો. મોફક્કરુલ કલકત્તા હાઈકોર્ટમાં વકીલ છે અને તે 2011માં AIMIMનો ઉમેદવાર રહી ચૂક્યો છે. મોફક્કરુલ પર આરોપ છે કે માલદાના સુજાપુરમાં 1 એપ્રિલે થયેલા વિરોધ પ્રદર્શનમાં તેણે ભડકાઉ ભાષણો આપ્યા. જેનાથી જનતા ભડકી ઉઠી અને હજારો લોકોએ કલિયાચોકના BDO ઓફિસને ઘેરી લીધું. બે ગેટ બંધ કરી દેવામાં આવ્યા, જેના કારણે 7 ન્યાયિક અધિકારીઓ 9 કલાક અંદર ફસાયેલા રહ્યા. મોડી રાત્રે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાજસ્થાનના રણમાં કરાં પડ્યાં:યુપીમાં ધૂળની ડમરી ઊડી; જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં હિમપ્રપાતનો ખતરો દેશભરમાં ઉનાળાની શરૂઆત પછી હવામાન ખરાબ થઈ ગયું. શુક્રવારે રાજસ્થાનના જેસલમેર અને બિકાનેરના રણ જિલ્લાઓમાં કરાં પડ્યાં. જયપુર સહિત સાત જિલ્લાઓમાં વરસાદ પડ્યો. ચુરુમાં ધૂળનું તોફાન આવ્યું. ચંદીગઢ, મોહાલી અને પંચકુલા સહિત પંજાબમાં પણ હવામાન બદલાયું. મોહાલી, પઠાણકોટ અને ભટિંડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉત્તર પ્રદેશમાં, વારાણસી સહિત અનેક જિલ્લાઓમાં ભારે ધૂળના તોફાન પછી વરસાદ પડ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદના વસ્ત્રાલ-સિંગરવામાં ભારે પવન સાથે બરફના કરા પડ્યા:ભાવનગર, પાટણ, બનાસકાંઠા સહિતમાં વરસાદની ધબધબાટી, વેરાવળમાં 20 મિનિટમાં 1 ઈંચ ગુજરાતમાં ભર ઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે 3 એપ્રિલે ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયા હતાં. સૌથી વધુ વેરાવળમાં 15થી 20 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન સાથે ધોધમાર પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હાલના વરસાદને પગલે કેરી, બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુઝવણમાં મુકાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર, રિક્ષા ચાલકે કહ્યું-ધીમે-ધીમે વધારો કરવા કરતા છરી મારીને મારી નાખો અદાણી CNGના ભાવમાં આજે (3 એપ્રિલ) પ્રતિ કિલોએ 1.50 (દોઢ રૂપિયા)નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે. આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અયોધ્યામાં બુરખો પહેરીને લૂંટ કરનાર છોકરી હિન્દુ નીકળી:રમકડાંની પિસ્તોલ બતાવીને 3.6 લાખનો સોનાનો હાર લૂંટ્યો, બોયફ્રેન્ડ સાથે બાઇક પર ભાગી ગઈ હતી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારત જતું ઈરાની ઓઈલ ટેન્કર ચીન તરફ વળ્યું:ગુજરાતના વાડીનાર આવી રહ્યું હતું ને દિશા બદલી નાખી, પેમેન્ટના વિવાદની આશંકા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ચારધામ યાત્રા 2026 પર યુદ્ધથી સંકટના વાદળો, રજીસ્ટ્રેશનમાં ઘટાડો:બુકિંગ લેવાથી ખચકાઈ રહ્યા છે ટ્રાવેલ ઓપરેટર્સ; પર્યટન વેપારીઓની મુશ્કેલીઓ વધી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્ર તરફ નીકળ્યા અવકાશયાત્રીઓ:34 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યા; સહેજ પણ ચૂકથી ચંદ્ર સાથે અથડાઈ શકે છે યાન વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : OTP વગર ઓનલાઈન પેમેન્ટ થઈ શકશે:બેંક-ટેલિકોમ કંપનીઓ 'સાયલન્ટ ઓથેન્ટિકેશન' લાવશે; જો સિમ-ડિવાઇસ મેચ નહીં થાય તો ટ્રાન્ઝેક્શન અટકશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અભિષેક શર્મા પર મેચ ફીના 25% દંડ:KKR સામેની મેચમાં IPL કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન, એક ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 18 એપ્રિલથી વૈશાખ માસ શરૂ:આ મહિનામાં ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ અમેરિકામાં ભૂલથી મહિલા બની કરોડપતિ અમેરિકામાં 57 વર્ષની મહિલાએ લોટરી લેતી વખતે ભૂલથી 47 ને બદલે 39 નંબર પસંદ કરી લીધો. તે જ નંબરથી તેના તમામ અંકો મેચ થઈ ગયા અને તે આશરે 2.33 કરોડ રૂપિયા જીતીને કરોડપતિ બની ગઈ. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : સંઘવીની ક્રિસ ગેલની જેમ ફટકાબાજી:MLA મેડમ વિકેટ કિપર બન્યા; શૈલેષ સોટ્ટાએ કોનું ‘જય શ્રી રામ’ કરી નાખવાની હનુમાનજીને પ્રાર્થના કરી? 2. ભાસ્કર સિરીઝ : માતા-પિતાને બહાર મંત્રોચ્ચાર કરવા બેસાડીને આસારામે દીકરીને પીંખી નાખી: ‘કયા મોઢે કહું કે આપણે જેને ભગવાન માનીએ છીએ તેણે જ મારી સાથે...’ જુઓ સિરીઝનો એપિસોડ-25 3. કેરળમાં મહિલાઓ સ્તન ઢાંકવા માટે ટેક્સ આપતી હતી:વિરોધમાં નંગેલીએ પોતાના સ્તન કાપી નાખ્યા; આજે પણ 50+ બેઠકો પર તેની અસર 4. ફિલ્મી ફેમિલી : જયાપ્રદાએ પરિણીત ને બે સંતાનોના પિતા સાથે લગ્ન કર્યા:એક્ટરે જાત પર કાબૂ ગુમાવતા એક્ટ્રેસે થપ્પડ મારી, આઝમ ખાને અશ્લીલ તસવીરો વહેતી કરી 5. ઘર-મદરેસા તૂટ્યા, હિમંતાથી નારાજ મુસ્લિમો બોલ્યા- અત્યાચારો યાદ રાખીશું:અસર 35થી 23 બેઠકો પર સીમિત રહી, શું મિયાં ફેક્ટર BJPની ગેમ બગાડશે 6. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પ હોર્મુઝ નહીં ખોલાવે, ન તો પરમાણુ બોમ્બનું યુરેનિયમ જપ્ત કરશે; ટ્રમ્પના 4 મોટા સંકેત, ઈરાન યુદ્ધમાં આગળ શું થશે? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રાશિફળ શનિવારનું રાશિફળ:મિથુન-ધન રાશિના લોકો માટે આર્થિક લાભના યોગ, મેષ-કન્યા રાશિના જાતકોના પ્રોપર્ટીના કામ પાર પડશે વાંચો સંપૂર્ણ સમાચાર…

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:00 am

પકવાન બ્રિજ પર થયેલી હિટ એન્ડ રનની ઘટના:SG હાઈવે પર થયેલા ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાં આધેડ 7 દિવસ બાદ જિંદગીની જંગ હાર્યા, કાર ચાલક સામે નોધાયો ગુનો

ગત શુક્રવારે અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આવેલા પકવાન બ્રિજ ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને બાઈકચાલક રોડ પર પટકાયો હતો. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું, તેમ છતાં કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઈક સાથે જ કારને 50થી 60 મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકને રોકીને કારના બોનેટમા ફ્સાયેલુ બાઈક બહાર કાઢયુ હતું. જે બાદ સ્થાનિકોએ તેને ખખડાવ્યો હતો. જે બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે એસજી હાઈવે ટ્રાફ્કિ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ અકસ્માતમાં કમલેશ ખાનીયાણીયા નામના બાઇકચાલકને ઇજાઓ પહોચી હતી, સાત દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે કારચાલક સામે હિટ એન્ડ રનની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:27 am

રાજકોટમાં 13 વર્ષની સગીરાએ રૂ.10.80 લાખના દાગીનાની ચોરી કરી:પતિ ધંધાના કામે બહાર ગયા પત્ની ઘર ખુલ્લું મૂકી પાડોશમાં બેસવા જતા બે કલાકમાં લાખોની મતા ચોરાઈ

રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા સાબુના ધંધાર્થી પોતાના કામ અર્થે બહાર ગયા હતા અને પત્ની પોતાનું ઘર ખુલ્લું મૂકી પાડોશમાં બેસવા ગયા હતા દરમિયાન ઘરમાં રહેલા 10.80 લાખના દાગીનાની ચોરી થતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી 13 વર્ષીય સગીરાને ઝડપી પાડી ચોરાઉ મુદામાલ વેચવા જાય એ પહેલા જ તમામ મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં રોલક્ષ રોડ પર સરદાર ચોક પાછળ સત્યમપાર્ક શેરી નંબર 2માં રહેતાં ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉ.વ.37)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમા અલગ અલગ જગ્યાએ ગાડીની ફેરી કરી સાબુનો વેપાર કરે છે. ગઈ તા.01.04.2026ના રોજ બપોરના 3 વાગ્યા આસપાસ તેઓ સાબુનો વેપાર કરવા માટે ગયા હતા અને સાંજે 7 વાગ્યે ઘરે આવ્યા ત્યારે પત્ની પારૂલબેને જણાવ્યું કે, હુ આપણી શેરીમાં બપોરના 4થી સાંજના 6 વાગ્યા સુધી બેઠી હતી ત્યારે આપણા ઘરના દરવાજા ખુલ્લા હતા અને હુ બહારથી આપણા ઘરમાં આવી ત્યારે દિવાલના ખુલ્લા કબાટમાં પડેલ પર્સ જોવા મળ્યું ન હતું જેમાં મારા ઘરેણાં હતા. પર્સમાં આસરે ચાર તોલાનો એક સોનાનો હાર, બે તોલાનું એક મંગળસુત્ર, બે તોલાનો હાથમા પહેરવાનો પોચો, બે સોનાની બુટી તથા એક સોનાનો ટીકો રાખ્યો હતો. જેથી કુલ 10.80 લાખની કિંમતનું કુલ 9 તોલા સોનુ કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસને ચોંકાવનારી હકીકત મળી હતી કે, રૂ.10.80 લાખના દાગીના ચોરી કરનાર કોઈ રીઢો તસ્કર નહિ પરંતુ 13 વર્ષની બાળકી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું ફરિયાદીના ઘર નજીકમાં એક દંપતી 15 દિવસ પહેલા ભાડેથી રહેવા આવ્યું હતું તેમને સંતાનમાં એક પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. ફરીયાદી દંપતી ઘરે ન હતું ત્યારે બાળકીએ ઘરમાં આવી દાગીના ભરેલ પર્સ લઈ નાસી છૂટી હતી હાલ પોલીસે ચોરીમાં ગયેલ તમામ 10.80 લાખનો મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:26 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લેટર વોર શરૂ:કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને લાંભા વોર્ડમાં કેમિકલ માફીયાઓને ટિકિટ ના આપવા લખ્યો પત્ર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય કાવાદાવા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મનપાના લાંભા વોર્ડનું રાજકરણ ગરમાયું છે. લાંભા વોર્ડમાં દાવેદારી કરનાર રાહુલ માટીયા સામે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતોરાહુલ માટીયા અને સતીશ ભરવાડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમની ટિકિટ નક્કી છે એવું કહી ફેક્ટરી માલિકો પાસે ફંડ માગી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ માટીયા સામે અગાઉ નારોલ પોલીસે ગેરકાયદે કેમિકલ છોડતા રાહુલ માટીયા સામે કાર્યવાહી પણ કરી હોવાનું સામે આવ્યું છે. રાહુલ માટીયાને અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતો. ચૂંટણીમાં ટિકિટ માટે અનેક લોકોએ દાવેદારી કરી છે ત્યારે ભાજપમાં લાંભા વોર્ડમાં ટિકિટ મળ્યા અગાઉ જ દાવેદારી કરનાર યુવક સામે આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ નક્કી છે કહી ડોનેશન માંગી રહ્યા છેઆ લેટરમાં લખ્યું છે કે, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ જે અમી કેમિકલ નામની કંપની ધરાવે છે અને લાંભા વિસ્તારમાં દરેક ફેક્ટરીમાં કેમિકલ તેમના પદના હિસાબે સપ્લાય કરે છે જેને કારણે કેમિકલ ધંધામાં ભાગીદારી ધરાવતા સતિષ ભરવાડ અને તેમનો દીકરો જે ભાજપ લાંબા વોર્ડનો પ્રમુખ છે, તે રાહુલ ભરવાડ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાની ટિકિટ નક્કી છે તેમ કહીને ચૂંટણીમાં ડોનેશન અને ટિકિટ માટે ડોનેશન માંગી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર રહી હારી ચૂકેલા વિક્રમ ભરવાડ અને રમણ ભરવાડ વર્ષ 2015માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તેમની હેરાનગતિ વધી ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિક્રમ ભરવાડ ઉમેદવાર હતા ત્યારે તે વખતે વિક્રમભાઈની ટિકિટ માટે કર્ણાવતી મહાનગરના મંત્રીઓનું નામ લઇ ડોનેશન માગી રહ્યા હતા. વેપારી એસોસિએશન ખૂબ મોટી રકમ લઈ ગયા હતા અને અત્યારે પણ તેમનું નામ લઇ આગામી ટીકીટ મળવાની છે, જેના નામે ડોનેશન માંગણી કરી રહ્યા છે. પત્ર લખનારે વધુમાં એવું પણ કહ્યું છે કે, અમે હંમેશા ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને વરેલા રહીએ છીએ. પાર્ટીનું નામ બદનામ ના થાય જેથી, ખાનગીમાં બંનેની હેરાનગતિને કારણે પત્ર લખી રહ્યા છે. આ પત્ર લીધે અમને હેરાનગતિ ના થાય અને તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવે.આ પત્ર સાથે સતિષ ભરવાડ અને રાહુલ ભરવાડ વિરુદ્ધ થયેલી કાર્યવાહીના કાગળ પણ જોડાણ સાથે મોકલવામાં આવ્યા છે. દિવ્યભાસ્કરે રાહુલ માટીયા સાથે વાત કરી ત્યારે જણાવ્યું હતું કે, દાવેદારી કરી છે પરંતુ, કોઈની પાસે ડોનેશન માંગ્યું નથી.લોકશાહી હોવાથી ફરિયાદ તો જેને કરવી હોય તે કરે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:05 am

મનપાની ફોર્મલ્ટીથી દબાણકર્તાઓ બેફામ:ભાઈજીપુરામાં મેગા દબાણ હટાવ ઝુંબેશમાં ફરી એકવાર સરકારી મશીનરીનો વેડફાટ, ગણતરીના કલાકમાં સ્થિતિ જૈસે થે

ગાંધીનગર શહેરના માર્ગોને ટ્રાફિકમુક્ત કરવાના બણગાં ફૂંકતી ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આજે ફરી એકવાર ભાઈજીપુરા વિસ્તારમાં મેગા દબાણ હટાવો ઝુંબેશનો દેખાડો કર્યો હતો. ભાઈજીપુરા ચોકડી અને આસપાસના સર્વિસ રોડ પરથી કાચા પાકા દબાણો અને લારી ગલ્લાઓને હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી કરવામાં આવી હતી પરંતુ, ગણતરીના કલાકોમાં જ આ કાર્યવાહી માત્ર કાગળ પરના આંકડા સુધારવાની સાથે સરકારી પૈસાનો વ્યર્થ વ્યય હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. અત્રેના રોડ પરના દબાણો ગણતરીના કલાકમાં જ રાબેતા મુજબ જેતે સ્થિતિમાં ગોઠવાઈ જઈ ધંધા ધમધમવા માંડતા મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. એસ્ટેટ શાખાની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચીગાંધીનગરના ભાઈજીપુરા સર્વિસ રોડ પર આવેલી દુકાનોના સંચાલકોએ જાણે રાહદારીઓના ફૂટપાથને પોતાની ખાનગી માલિકી સમજી લીધી હોય તેમ ત્યાં પાણીપુરી, ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ અને ફેરિયાઓને આશરો આપી દીધો હોવાનું જગ જાહેર છે. આજે એસ્ટેટ શાખાની ટીમે પોલીસ કાફલા સાથે પહોંચી આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી ત્યારે રસ્તો ચોખ્ખો થઈ ગયો હતો. ગણતરીના કલાકોમાં જ આ દબાણો ફરી યથાવત થઈ જાય છેપરંતુ ભૂતકાળની વ્યર્થ કામગીરી સાક્ષી છે કે મનપાનું ટ્રેક્ટર પરત ફરે એટલે ગણતરીના કલાકોમાં જ આ દબાણો ફરી યથાવત થઈ જાય છે. એજ સ્થિતિ સાંજ પડતા જોવા મળી રહી છે.અહીં ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો ફરી ગોઠવાઈ ગયા હોવાથી એસ્ટેટ શાખાની પોલ ખુલી ગઈ છે .અગાઉ ઘ-0 થી રિલાયન્સ સર્કલ સુધીના માર્ગ પર પણ આવી જ ભવ્ય ડ્રાઇવ યોજાઈ હતી.જેનું પરિણામ આજે શૂન્ય છે. આવી કામગીરી સામે નગરજનોનો રોષ છે કે તંત્ર માત્ર નામ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લે છે. મનપાના એસ્ટેટ વિભાગની ઢીલી નીતિને કારણે દબાણકર્તાઓ બેખોફ બન્યા જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી થાય છે. ત્યારે મશીનરી, ઈંધણ અને માનવબળ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે.પરંતુ કોઈ નક્કર કે કાયમી ઉકેલ આવતો નથી. ટ્રાફિક પોલીસ પણ આ વિસ્તારમાં વારંવાર મથામણ કરી ચૂકી છે છતાં મનપાના એસ્ટેટ વિભાગની ઢીલી નીતિને કારણે દબાણકર્તાઓ બેખોફ બન્યા છે. કડક કાર્યવાહી નહી થાય તો ભાઈજીપુરા જેવી ઝુંબેશો માત્ર રમત બનીને રહી જશેમોટાભાગે વેપારીઓ ફૂટપાથ પચાવી પાડી છે અને તંત્ર નોટિસ આપીને કે સામાન જપ્ત કરીને પોતાની જવાબદારી પૂરી માને છે.ખરેખર તો જ્યાં સુધી દબાણ કરનાર તત્વો સામે આકરો દંડ કે કાયમી લાયસન્સ રદ કરવા જેવી કડક જોગવાઈઓ અમલી નહીં બને ત્યાં સુધી ભાઈજીપુરા જેવી ઝુંબેશો માત્ર રમત બનીને રહી જશે. મનપા ભલે આગામી દિવસોમાં સતત કામગીરીના વાયદા કરે પણ આજે જ સાંજ પડતા ગેરકાયદેસર વેપાર ધંધા ધમધમવા માંડ્યા છે. ફૂટપાથો પર લારી ગલ્લાના દબાણોનો અડિંગો રાબેતા મુજબનો થઈ ગયો છે .આ વખતે પણ રસ્તાઓ એસ્ટેટ શાખાના માત્ર ફોટા પડાવવા પૂરતા જ ખુલ્લા રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:41 pm

પાંડેસરામાં 6 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો:22 વર્ષીય આરોપી ચોકલેટની લાલચ આપી બાળકીને અવાવરુ જગ્યાએ લઈ ગયો, પોલીસે 45 સીસીટીવી ચેક કરી માસૂમને બચાવી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બનતા અટકી છે. ચોકલેટ અને કુરકુરેની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરનાર બિહારના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકીને સહી-સલામત મુક્ત કરાવી હતી. ચોકલેટની લાલચ આપી અપહરણઘટનાની વિગત મુજબ, ગત 31 માર્ચના રોજ રાત્રે પાંડેસરા વિસ્તારમાંથી એક બાળકી અચાનક ગુમ થઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમ (112) પર કોલ આવતા જ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે, એક અજાણ્યો શખ્સ બાળકીને લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયો હતો. એસીપી ઝેડ.આર. દેસાઈના જણાવ્યા અનુસાર, આરોપી પ્રદીપ ઉર્ફે સત્યેન્દ્ર પાલ અને બાળકી વચ્ચે કોઈ પૂર્વ પરિચય નહોતો, તેમ છતાં લાલચ આપી તે માસૂમને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. 6 ટીમોનું મેગા સર્ચ ઓપરેશનઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પાંડેસરા પી.આઈ. કે.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ 50 જેટલા પોલીસ કર્મચારીઓની 6 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ઓપરેશનમાં અલથાણ અને ખટોદરા પોલીસની ટીમોને પણ સામેલ કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. રાતભર ચાલેલી આ શોધખોળમાં પોલીસે વડોદ ગામથી પ્રાઇમ પોઇન્ટ સુધીના અંદાજે 45 જેટલા CCTV કેમેરા તપાસ્યા હતા. સિક્યોરિટી ગાર્ડની માહિતી અને સફળતાવહેલી સવારે 4:30 વાગ્યે સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકી સાથે દેખાયો હતો. દરમિયાન, 'વેદાંત' સાઈટના સિક્યોરિટી ગાર્ડે પણ પોલીસને મહત્વની કડી આપી હતી. આ માહિતીના આધારે પોલીસે ખાડી પાસેના ઝાડી-ઝાંખરામાં તપાસ કેન્દ્રિત કરી હતી. અંતે સવારે 6:15 વાગ્યે CEPT પ્લાન્ટ પાછળની ઝાડીઓમાં આરોપી બાળકી સાથે સૂતેલી હાલતમાં ઝડપાઈ ગયો હતો. એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, આ કેસ અત્યંત સંવેદનશીલ હતો. સમયસર સર્ચ ઓપરેશન હાથ ધરવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે અને બાળકી સહી-સલામત મળી આવી છે. કોણ છે આરોપી?પકડાયેલો 22 વર્ષીય આરોપી પ્રદીપ મૂળ બિહારના ઔરંગાબાદનો વતની છે અને હાલ લક્ષ્મીનગરમાં રહે છે. તે પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેનો ઇરાદો બદકામ કરવાનો હતો, પરંતુ રસ્તામાં લોકોની અવરજવરને કારણે તે સતત સ્થળ બદલતો રહ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ-137(2) મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મેડિકલ તપાસમાં બાળકી સુરક્ષિત હોવાનું જણાતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:39 pm

કેસરિયા કિલ્લામાં ટિકિટ માટે પડાપડી:ગાંધીનગરની 176 બેઠક માટે 548 દાવેદારોએ ઝંપલાવ્યું, સાદરા બેઠકમાં 21 ફોર્મ ભરાતા નિરીક્ષકો પણ અવાચક

ગુજરાતના રાજકારણમાં હાલ ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સંસદથી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી ભાજપનું એકહથ્થુ શાસન હોવાથી સત્તાના સથવારે પોતાની રાજકીય નૈયા પાર પાડવા ઈચ્છતા કાર્યકરોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ, માણસા અને ગાંધીનગર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની કુલ 176 બેઠક માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા 548 જેટલા દાવેદારો મેદાનમાં ઉતરી આવ્યા છે.એક સમયે જ્યાં ઉમેદવારો શોધવા પડતા હતા ત્યાં આજે ટિકિટ માટે લાઈનો લાગી છે. ભાજપની ટિકિટ મેળવવા દાવેદારોનો રાફડો ફાટ્યોગાંધીનગર તાલુકાની સાદરા જિલ્લા પંચાયતની બેઠક હાલમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે.આ બેઠક બિનઅનામત હોવાથી અહીં ભાજપના ટિકિટ વાંચ્છુઓનો રાફડો ફાટ્યો છે.માત્ર આ એક જ બેઠક માટે 21 મૂરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.આટલી મોટી સંખ્યામાં દાવેદારી સૂચવે છે કે સ્થાનિક સ્તરે પક્ષમાં આંતરિક સ્પર્ધા કેટલી તીવ્ર છે. ઉમેદવાર પસંદ કરવો લોઢાના ચણા ચાવવા સમાનઆ વખતની ચૂંટણીમાં એક નવો વળાંક જોવા મળ્યો છે.ગાંધીનગર જિલ્લામાં ઠાકોર ક્ષત્રિય મતદારોનું વર્ચસ્વ નિર્ણાયક માનવામાં આવે છે,ત્યારે ઠાકોર સેનાના અનેક આગેવાનોએ પણ ભાજપના પ્રતીક પર ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે.ખાસ કરીને ઓબીસી અનામત ધરાવતી બેઠકો પર ઠાકોર સેનાના આગ્રહને કારણે ભાજપ હાઈકમાન્ડ માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી કઠિન બની શકે તેમ છે. ત્રણ તાલુકાની 21 બેઠક માટે 121 દાવેદારપાર્ટી નિરીક્ષકો દ્વારા છેલ્લા બે દિવસથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જિલ્લા પંચાયતની બેઠકોની વાત કરીએ તો ત્રણેય તાલુકાની 21 બેઠકો માટે 121 દાવેદારો લાઈનમાં છે.જેમાં દહેગામની 7 બેઠકો માટે 47, કલોલની 6 બેઠકો માટે 16 અને ગાંધીનગરની 8 બેઠકો માટે 58 દાવેદારો છે. કલોલ તાલુકા પંચાયતની 22 બેઠક માટે 65ની દાવેદારીએ જ રીતે તાલુકા પંચાયતની દહેગામ તાલુકા પંચાયતની 28 બેઠક માટે 69 અને કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 65 દાવેદારોએ ઉમેદવારી માટે તૈયારી દર્શાવી છે.જ્યારે નગરપાલિકાની બેઠકો પૈકી દહેગામ પાલિકાના 7 વોર્ડ માટે 135 અને કલોલ પાલિકાના 11 વોર્ડ માટે 157 જેટલા ફોર્મ ભરાયા છે. હાલમાં માણસા તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠક માટે 58 દાવેદારો નોંધાયા છે. ઉપરાંત માણસા તાલુકા પંચાયતની 26 બેઠકમાં 85 દાવેદારોએ ફોર્મ ભર્યા છે.આમ નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે ટિકિટ કોને મળશે તે અંગે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.ભાજપ માટે આટલી મોટી સંખ્યામાંથી શ્રેષ્ઠ અને વિજેતા ઉમેદવારની પસંદગી કરવી એ મોટો પડકાર બની રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:37 pm

ભાજપના નેતાઓના સંતાનોના ટિકિટના દાવાથી કાર્યકરોમાં આક્રોશ:ખાડીયા-શાહીબાગમાં ભડકો, નેતાના સંતાનોને ટિકિટ અપાશે નહી તેવા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના દાવાથી સ્થિતિ વિપરીત

ખાડીયા વૉર્ડના પૂર્વ કાઉન્સિલર, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના દીકરા જૈવલ ભટ્ટે તેમજ પૂર્વ ભાજપ પક્ષના નેતા-સતત પાંચ વખતના કાઉન્સિલર મયુર દવેના પુત્ર શાલીન દવેએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.બીજા એક શાહીબાગ વૉર્ડમાં પણ પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવિણ પટેલના પુત્ર વિશાલ પટેલે પણ કાઉન્સિલર માટે દાવેદારી નોંધાવી છે. જેને પગલે ભાજપના પાયાના કાર્યકરો-આગેવાનોમાં ભારે ગણગણાટ શરુ થયો છે. કેમ કે ભાજપના નાના મોટા નેતાઓ હંમેશા કોંગ્રેસના પરિવારવાદને ગાળો આપતા આવ્યા છે, ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની આવી નીતિરીતિનો જ અમલ કરાશે કે શું એવો પ્રશ્ન બધા પૂછી રહ્યા છે. ભાજપ આગેવાનોના પુત્રોની દાવેદારીથી આક્રોશ ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે પણ મીડિયા ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યા છે તેમાં એવુ સ્પષ્ટ કહ્યુ છે કે, પૂર્વ નેતાઓ પુત્રોને ટિકિટ આપવામાં નહી આવે.શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની માફક હાલના ભાજપના કેટલાક આગેવાનોના સંતાનોએ ટિકિટ માટેની દાવેદારી કરતા પાયાના કાર્યકરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમજ જૂના નેતાઓ અને નેતા પુત્રો પ્રમુખના આદેશને ઘોળીને પી રહ્યા હોય તેવા હાલ થયા છે. પાયાના કાર્યકરો સાથે દગો થઈ રહ્યો હોવાની ચર્ચા કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે પરિવારવાદના આક્ષેપ કરતી ભાજપ એનો આંતરવિગ્રહ કેવી રીતે ટાળશે એ ખુબ મોટો પ્રશ્ન ભાજપના પ્રમુખ અને ચૂંટણી ઉમેદવાર પસંદગી સમિતિ સામે ઉભો થયો છે.પોતાના જીવનનો સર્વસ્વ અર્પણ કરનાર પાયાના કાર્યકર્તા સાથે દગો થઈ રહ્યો હોય તેમ કાર્યકર્તા કહી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ પોતાના જાહેર ભાષણોમાં કાર્યકર્તાને કેન્દ્ર સ્થાને રાખે છે, કાર્યકર્તા બાબતે મોટા- મોટા નિવેદનો આપે છે અને જયારે ખરેખર કાર્યકર્તાને ન્યાય આપવાની બાબત આવે છે ત્યારે દબાણમાં આવીને હથિયાર હેઠા મૂકી દેશે કે શું તેવો પ્રશ્ન પણ કાર્યકરો એકબીજાને પૂછી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:31 pm

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 427 દાવેદાર:વોર્ડ 9માં સૌથી વધુ 49, વોર્ડ 10માં સૌથી ઓછા 18 દાવેદારો

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા 427 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 13 વોર્ડમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. શહેરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થતાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ચૂંટણી લડવા ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રદેશમાંથી આવેલા અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહ, પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિરભાઈ ભટ્ટે વોર્ડવાર આગેવાનોની સેન્સ લીધી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના જણાવ્યા અનુસાર, 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયામાં કુલ 427 આગેવાનોએ ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી છે. વોર્ડ નં. 9 માં સૌથી વધુ 49 દાવેદારો હતા, જ્યારે વોર્ડ નં. 10 માં સૌથી ઓછા 18 દાવેદારો નોંધાયા હતા. અન્ય વોર્ડમાં દાવેદારોની સંખ્યા આ મુજબ છે: વોર્ડ 1માં 39, 2માં 31, 3માં 35, 4માં 26, 5માં 31, 6માં 35, 7માં 44, 8માં 34, 11માં 29, 12માં 30 અને 13માં 26. દાવેદારી કરનારાઓમાં નગરપાલિકાના પૂર્વ સભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો (અથવા તેમના પતિ), સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો અને સામાજિક આગેવાનોનો સમાવેશ થાય છે. હવે જિલ્લા ભાજપ સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ દાવેદારોના નામની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલવામાં આવશે, ત્યારબાદ પ્રદેશમાંથી ઉમેદવારોના અંતિમ નામ જાહેર કરાશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:15 pm

BREAKING: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ

Earthquake tremors felt in Delhi: દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે(3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારો ધ્રૂજી ઉઠ્યા હતા અને એક પછી એક બે આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ગુજરાત સમાચાર 3 Apr 2026 10:05 pm

કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારતી હાઇકોર્ટ:આંબલીયાએ આક્ષેપ કર્યો હતો કે DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતા

કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા વર્ષ 2021 માં ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિની ધરપકડ અને તે પછીની કાર્યવાહી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. DCP જયદીપસિંહ PI હિતેશ ગઢવી અને PI વિક્રમ વણઝારા સામે આંબલિયાએ અરજી દાખલ કરી હતી. જેમાં પક્ષકાર તરીકે તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પણ જોડવામાં આવ્યા હતા. DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતાઆંબલિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાત કોંગ્રેસના દેવભૂમિ દ્વારકાના ખેડૂત નેતા છે. વર્ષ 2020 માં તેમની સામે પ્રદ્યુમન નગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાં તેમને પોલીસ સ્ટેશનથી બોલાવીને જામીન આપી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પોલીસ સ્ટેશનથી પરત ફરતા હતા, ત્યારે તેમને અંગૂઠો લેવાનો છે તેમ કહીને ફરીથી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જેથી તેમને પોલીસ કમિશનર કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં DCP જયદીપસિંહ અને PI હિતેશ ગઢવીએ તેમને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. PIએ ફરિયાદ લેવાની ના પાડી હતીતે પછી તેમની પર જુદા જુદા કેસ કરવામાં આવ્યા હતા. પાલ આંબલિયાએ આ સંદર્ભે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોધાઇ હતી. તેઓએ પ્રદ્યુમન નગર પોલીસ મથકે DCP અને માર મારનાર PI હિતેશ ગઢવી સામે પોલીસ ફરિયાદ આપવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ સ્ટેશનના PI વિક્રમ વણઝારાએ ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. તેઓએ આ અંગે કમિશનરને પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત DGP ને પત્ર લખ્યો હતો. ત્યાં ગાંધીનગર સેક્ટર 21 પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા. પોલીસે આક્ષેપિત કર્મચારીઓ સામે FIR નોંધી હતીઆંબલિયાના જણાવ્યા મુજબ તેમનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું ન હતું. આ કેસ જ્યારે પેન્ડિંગ હતો, ત્યારે પોલીસે આક્ષેપિત કર્મચારીઓ સામે FIR નોંધી હતી. પરંતુ તેમાં પણ મેજિસ્ટ્રેટ સમક્ષ આ સમરી ભરી દીધી હતી. જે મુજબ અન્ય એક DCP એ કરેલી તપાસમાં પ્રથમદર્શી રીતે કસ્ટોડિયલ માર મરાયાનું સામે આવ્યું નથી. જો કે ડોક્ટરના સારવારના પ્રમાણપત્રો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. હાઇકોર્ટે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારીચાર પોલીસ કર્મચારી સામે ફરિયાદ સંદર્ભે A સમરીમાં પૂરતા પુરાવા નહીં મળી આવ્યા અને ગુનો બન્યો છે, પરંતુ આરોપી ઓળખાયા નથી તે પ્રમાણેની સમરી ભરવામાં આવી છે. જ્યારે સામા પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દે JMFC કોર્ટ સમક્ષ કાર્યવાહી પેન્ડિંગ છે. આરોપીએ સામે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી. CID ક્રાઈમ બ્રાન્ચે પણ આ બાબતે તપાસ કરી હતી. આ ઘટનાના કોઈ CCTV પણ નથી. કોઈ એટ્રોસિટી આચરવામાં આવી નથી કે તેની કોઈ સાબિતી પણ નથી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ બાબતે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી, JMFC કોર્ટ સમક્ષ આ મુદ્દો પેન્ડિંગ છે, ત્યારે આ અરજીને નકારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:49 pm

કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ:સુરતમાં શાળાની બાંધકામ સાઇટ પર 8 વર્ષની માસૂમ પર બળાત્કાર, આરોપી બાળકી રમતી હતી ને રૂમમાં ખેંચી ગયો

સુરતના કતારગામ વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. રામજી મંદિર પાસે નિર્માણ પામી રહેલી એક શાળાના બાંધકામ સ્થળે શ્રમિક પરિવારની 8 વર્ષની બાળકી પર પિતાની સાથે જ કામ કરતા એક મજૂરે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. માસૂમ બાળકીએ હિંમત બતાવી માતા-પિતાને આપવીતી જણાવતા પોલીસે બિહારના આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. રમતી બાળકી પર નજર બગડીમળતી માહિતી પ્રમાણે, કતારગામ રામજી મંદિર પાસે એક સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં બિહારના કટિહાર જિલ્લાના અનેક મજૂરો પરિવાર સાથે રહી મજૂરી કામ કરે છે. ગત 1 એપ્રિલના રોજ બપોરે 2 થી સાંજના 6:30 વાગ્યા દરમિયાન જ્યારે અન્ય મજૂરો કામમાં વ્યસ્ત હતા, ત્યારે આરોપી અલી અજંર મહમદ હબલુ આલમ (રહે. બિહાર) એ ત્યાં રમી રહેલી 8 વર્ષની બાળકીને એકલી જોઈ હતી. આરોપી બાળકીને પકડીને સાઇટ પર બનાવેલી એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ધમકી આપી ‘માતા-પિતાને કહીશ તો પતાવી દઈશ’માસૂમ બાળકી કંઈ સમજે તે પહેલા જ હવસખોર અલી અજંરે તેને ડરાવવાનું શરૂ કર્યું હતું. તેણે બાળકીને ધમકી આપતા કહ્યું હતું કે, જો તે આ વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખીશ. માતા-પિતાને કહીશ તો પતાવી દઈશ. આ ધમકીથી બાળકી થરથર ધ્રૂજી ઉઠી હતી. જોકે, હવસખોરના ગયા બાદ માસૂમે હિંમત એકઠી કરી આખી ઘટના માતા-પિતાને કહી સંભળાવી હતી. ગણતરીના કલાકોમાં આરોપી જેલ ભેગોબાળકીના માતા-પિતાએ તાત્કાલિક કતારગામ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બાળકીની ગંભીર હાલત અને ગુનાની ગંભીરતા જોઈ તુરંત જ બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી અલી અજંરની શોધખોળ આદરી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી. શાળા જેવી પવિત્ર જગ્યાએ નરાધમનું પાપજ્યાં બાળકો શિક્ષણ મેળવવા આવવાના છે તેવી નિર્માણધીન શાળામાં જ આ હીન કૃત્ય આચરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ કેસમાં વધુ પૂછપરછ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:37 pm

સિદ્ધપુરના ધુમ્મડ ગામે આકાશી વીજળી ત્રાટકતા ગાય-ભેંસના મોત:વિધવા મહિલાની આજીવિકા છીનવાઈ, સરકારી સહાયની માંગ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે કમોસમી વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં એક ગાય અને એક ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પશુઓ એક ગરીબ વિધવા પરિવારના હતા, જેમને આર્થિક ફટકો પડ્યો છે. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કુદરતી આફત દરમિયાન વીજળી પડતા પશુપાલન પર નિર્ભર કાંતાબેન (સ્વ. પુંજાજી વાઘાજી ઠાકોર) ના બે પશુઓ મૃત્યુ પામ્યા હતા. બાંધેલા પશુઓને બચાવવાની કોઈ તક મળી ન હતી. કાંતાબેન અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે અને તેમના પરિવારમાં કમાનાર કોઈ સભ્ય નથી. આ ગાય અને ભેંસ જ તેમના ઘરનું ગુજરાન ચલાવવાનો એકમાત્ર સ્ત્રોત હતા. પશુઓના દૂધથી થતી આવક દ્વારા જ તેઓ પરિવારનું ભરણપોષણ કરતા હતા. આ દુર્ઘટના બાદ પરિવારની આજીવિકાનું સાધન છીનવાઈ જતાં કાંતાબેન અને તેમનો પરિવાર અસહાય સ્થિતિમાં મુકાઈ ગયા છે. ગ્રામજનોએ વિધવા મહિલાની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા ત્વરિત ધોરણે પશુઓના મોત અંગેનો સર્વે કરવાની માંગ કરી છે. પરિવાર પાસે હાલ આવકનું બીજું કોઈ સાધન ન હોવાથી સરકારી તંત્ર વહેલી તકે આર્થિક વળતર ચૂકવે તેવી માંગ પ્રબળ બની છે. પશુઓના અકાળે મોતથી થયેલું નુકસાન આ ગરીબ પરિવાર માટે મોટો આર્થિક ફટકો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:35 pm

વાપી મહાનગરપાલિકા ચૂંટણી:કોંગ્રેસમાં 52 બેઠકો માટે ખેંચતાણ, 110 દાવેદારોએ ફોર્મ ભર્યા; આંકડો 225 પહોંચવાની શક્યતા

વાપી મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા તમામ 52 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલમાં સેન્સ લેવાની અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 110 દાવેદારોએ ફોર્મ ભર્યા છે, અને આ આંકડો 225 સુધી પહોંચવાની શક્યતા છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પાણીની સમસ્યા, ભ્રષ્ટાચાર અને જમીન કપાત જેવા મુદ્દાઓને મુખ્ય બનાવવામાં આવશે. આ મુદ્દાઓ પર જનતા સમક્ષ ભાજપ સરકારની નિષ્ફળતાઓ રજૂ કરાશે. શહેર પ્રમુખે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગત સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને જનતા સમક્ષ ખુલ્લો પાડવામાં આવશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જમીન કપાત અને ડેવલપમેન્ટ ચાર્જીસના મુદ્દે લોકોમાં ભારે રોષ છે. કોંગ્રેસ આ વખતે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરશે અને સત્તા પરિવર્તન માટે પૂરી તાકાત લગાવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:33 pm

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ:વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથું મળ્યું, હનુમાન જયંતીના દિવસે નવાયાર્ડ રેલવે કોલોનીમાં અસામાજિક તત્વોની હરકત

વડોદરા શહેરમાં હનુમાન જન્મોત્સવ જેવા પવિત્ર દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ફરી એકવાર શહેરમાં જોવા મળ્યો હતો.અસામાજિક તત્વોએ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી વ્યાયામશાળાને નિશાન બનાવી તેમાં બકરાનું કપાયેલું માથું નાખીને હિન્દુ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથુ મળ્યુંશહેરના નવાયાર્ડ રેલવે કોલોનીમાં આવેલી વ્યાયામશાળામાં અસામાજિક શખ્સ દ્વારા બકરાનું કપાયેલું માથું નાખવામાં આવ્યું હોવાની ઘટના ચકચાર મચાવી છે. આ ઘટનાથી સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને વાતાવરણમાં તણાવ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ હિન્દુ યુવકો દ્વારા રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા પ્રયાસપોલીસે હાલમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કૃત્ય પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે જાણવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપાયેલું બકરાનું માથું નાખીને શહેરની શાંતિ ભંગ કરવા સાથે હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટેનો પ્રયાસ કરાયો હતો. સંગઠનોએ DRM આવેદનપત્ર આપ્યુંઆજે હિન્દુ સંગઠનો દ્વારા DRM ઓફિસ ખાતે આવેદનપત્ર આપી આ વિસ્તારમાં બનેલી ઘટનાને લઈ ગંભીરતા દાખવી છે.આ મામલે રેલવે પોલીસે જાણાવાજોગ ફરિયાદ નોધી આ વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:29 pm

ભાજપનું ઓપરેશન ઘરવાપસી:સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાને પુનઃ ભાજપનો ખેસ પહેરાવાયો, મેયર વિરુદ્ધ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરી હતી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, ત્યારે ભાજપ દ્વારા ઓપરેશન ઘર વાપસી હાથ ધરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરનાર ભાજપના જ સભ્ય અલ્પેશ લિંબાચિયાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ સામી ચૂંટણીએ તેઓને પાછો ભાજપનો ખેસ પહેરાવી પ્રવેશ આપવામાં આવ્યો છે, ત્યારે હવે ભાજપમાં જ આંતરિક વિખવાદ સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતાપૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાએ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રીઓંક ફરતી કરી હોવાના આક્ષેપ હતા. આ મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ તેઓના સાળાનું નામ પણ ખુલ્યું હતું. સમગ્ર મામલે ભાજપે અલ્પેશ લીંબાચીયા સામે કડક રહે કાર્યવાહી કરી તેઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જે તે સમયે પત્રિકાકાંડની તપાસમાં તેઓની ભૂમિકા સપાટી પર આવતાં અને પક્ષમાં કોઈ આવું કૃત્ય ન આચરે તેવો દાખલો બેસાડવા ભાજપે અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી પક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા નિર્ણય કર્યો છે, જ્યારે અલ્પેશ લિંબાચિયાએ કહ્યું કે, પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે. સસ્પેન્ડ થયા બાદ પણ પાર્ટી વિરુદ્ધ કામ નથી કર્યુંઅલ્પેશ લિંબાચિયાને ભાજપે વિધિવત રીતે ખેસ પહેરાવી પુનઃ પ્રવેશ આપ્યો હતો. ત્યારે અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સસ્પેન્ડ થયા બાદ પણ મેં ભાજપ વિરુદ્ધ કામ નથી કર્યું. જયારે સામાન્ય સભામાં મતદાન થકી કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે મેં ભાજપની તરફેણમાં જ મતદાન કર્યું છે. ત્યારે ભાજપે મારા ઉપર પુનઃ જવાબદારી મૂકી છે તેને હું એક કાર્યકર તરીકે પરિપૂર્ણ કરીશ. ત્રણ વર્ષમાં કોર્પોરેશનમાં જ્યારે પણ મતદાનની સ્થિતિ આવી, ત્યારે તેમણે હંમેશા ભાજપની તરફેણમાં જ મત આપ્યો છે. તેમણે ક્યારેય પણ પાર્ટીની શિસ્ત વિરુદ્ધ કામ કર્યું નથી અને ભવિષ્યમાં પણ નહીં કરે તેવી ખાતરી આપી હતી. ચૂંટણી લડુ કે નહીં તે પાર્ટી નિર્ણય કરશેઆગામી સમયમાં ચૂંટણીઓ છે, ત્યારે અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પાર્ટી જે નિર્ણય લેશે તે પ્રમાણે હું અનુસરીશ. તેઓ એક જ વાતને વળગી રહ્યા હતા કે પાર્ટી જે આદેશ કરશે તે પ્રમાણે કરીશ. ત્યારે આગામી સમયમાં ભાજપના સમીકરણો બદલાઈ શકે છે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સિનિયર ધારાસભ્યએ મધ્યસ્થી કરી?અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વોર્ડ 19માંથી જીત્યા હતા. તેઓ દ્વારા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નજીકના મનાતા અને તેઓના આશીર્વાદથી જ મેયર બનેલા નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં શું સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે જ મધ્યસ્થી કરી કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે યોગેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં એમ જણાવ્યું હતું કે, આ પાર્ટીનો નિર્ણય છે અને પાર્ટી કરે એ શિરોમાન્ય હશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:29 pm

માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ:24 બેઠકો માટે એક પણ દાવેદાર ન દેખાયો, નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીં

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના મજબૂત ઉમેદવારો પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત 'સેન્સ પ્રક્રિયા'માં એક આશ્ચર્યજનક અને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી એક પણ નેતાએ દાવેદારી નોંધાવી નથી. નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીંમોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જ્યારે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અર્થે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી. 2જી એપ્રિલે બપોરે 2:30થી 4:30 સુધી માળિયા નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી હતી. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે દાવેદારોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે માળિયા શહેરી વિસ્તારમાંથી એક પણ આગેવાન કે કાર્યકર ટિકિટની માંગણી કરવા માટે ફરક્યા પણ નહોતા. જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયાઆ અજીબોગરીબ સ્થિતિ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માળિયા (મી) તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ત્યાં પૂરતા પ્રમાણમાં દાવેદારી પણ નોંધાઈ છે. જોકે, નગરપાલિકાની 24 બેઠકો માટે કોઈ દાવેદાર ન આવતા હાલ સંકલનની કાર્યવાહી ચાલી રહી છે. માળિયા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયામાં આગેવાનોએ ભાગ લીધો છે, પરંતુ નગરપાલિકા માટે હજુ સંકલન ચાલુ છે. અમને આશા છે કે આગામી સમયમાં માળિયાથી ભાજપ માટે સારા સમાચાર આવશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા અને સવાલોસત્તાધારી પક્ષ ભાજપ, જે હંમેશા સંગઠન અને શિસ્ત માટે જાણીતો છે, તેના માટે માળિયા નગરપાલિકામાં દાવેદારોનો અભાવ ચર્ચાનો વિષય બન્યો છે. શું સ્થાનિક સ્તરે કોઈ આંતરિક નારાજગી છે?શું ભાજપના કાર્યકરો ચૂંટણી લડવા માટે ખચકાઈ રહ્યા છે? કે પછી આ કોઈ ખાસ રણનીતિનો ભાગ છે? સંકલન દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસહાલમાં કોઈ ઉમેદવાર સામે ન આવતા ભાજપના મોવડી મંડળ દ્વારા માળિયાના સ્થાનિક આગેવાનો સાથે બેઠકો અને સંકલન સાધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપના નેતાઓ આશાવાદી છે કે ટૂંક સમયમાં જ આ મડાગાંઠ ઉકેલાશે અને 24 બેઠકો પર સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, આગામી દિવસોમાં માળિયા નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલવવા માટે કયા ચહેરાઓ સામે આવે છે અને પક્ષ કઈ રીતે આ શૂન્યાવકાશ ને ભરે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:24 pm

પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો:પત્ની સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી યુવકે ગળાફાંસો ખાધો, દીકરી જોઈ જતા જીવ બચી ગયો

રાજકોટ​ શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં રહેતા અને ચાંદી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેન્દ્ર ઉર્ફે શુભમ માળી (ઉ.વ.32) નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન તેમની દીકરીએ પિતાને આ હાલતમાં જોઈ બૂમો પાડતા પત્ની કિયાબેન અને આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા જેથી નીચે ઉતારી તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સુરેન્દ્રભાઈને પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો આ બોલાચાલી બાદ આવેશમાં આવી તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું અને રૂમમાં જઈ પંખાના હૂક સાથે ગાળિયો બનાવી લટકી ગયા હતા હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો જૂનાગઢના કડીયાવાડ વણકરવાસમાં રહેતા વિજયભાઈ પરસોતમભાઈ ચુડાસમા (ઉં.વ.22)એ ગઈકાલે રાત્રે 3.30 વાગ્યા આસપાસ રાજકોટમાં પુનિતનગરના ટાંકા સામે વિશ્વકર્મા સોસાયટી નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસને વિજયએ જણાવ્યું કે, મારી પત્નીનું નામ કિરણ છે. કિરણનાં મારી સાથે બીજા લગ્ન છે. કિરણને આગલા ઘરના દીકરો અને દીકરી છે. જ્યારે અમારા લગ્ન જીવનથી 2 દીકરા છે. હાલ ચારેય સંતાન મારી સાથે રહે છે. મારે જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ પાસે ચા ની હોટલ અને ગાદલાની દુકાન છે. મારી પત્ની અવાર નવાર ઘરેથી ચાલી જતી પણ પાછી આવી જતી. જોકે 4 મહિના પહેલા તે ઘરેથી ગઈ પછી પાછી આવી ન હતી. હું તેને શોધતો હતો. દરમ્યાન મને ઇન્સ્ટાગ્રામ રિલ્સમાં મયુર નામના યુવાનના એકાઉન્ટમાં રિલ્સ જોવા મળી. જેમાં મારી પત્ની અને તે દ્વારકામાં હતા તેવા ફોટા હતા. મેં મયુરનો કોન્ટેક કર્યો તો મયુરે ફોન પર જણાવ્યું કે બંને ખાલી ફ્રેન્ડ છે. પછી મેં હાઈલાઈટ જોતા મયુર સાથેનાં મારી પત્નીના અન્ય ફોટા જોયા. જેથી મયુર જામનગરનો હોવાની જાણ થતા હું જામનગર ગયો જ્યાં મયુરના ભાઈએ જણાવ્યું કે, મયુર રાજકોટ રહે છે. જેથી હું રાજકોટ આવ્યો પણ અહીંથી મયુર અને મારી પત્ની બંને ક્યાંક જતા રહ્યા હતા. જેથી કંટાળી મેં આ પગલું ભર્યું હતું. જામનગર રોડ ઉપર મનહરપુરમાં તસ્કરો ત્રાટકયા રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ મનહરપુર વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે. ફરિયાદી આશીફભાઈ નુરમહમદ ઠેબાએ જણાવ્યું હતું કે તારીખ 30 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ પોતાના પરિવાર સાથે કરણપરા ખાતે રહેતા તેમના સાળીના ઘરે રોકાવા ગયા હતા. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું જેનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરના મેઈન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બીજા દિવસે એટલે કે સવારે 6 વાગ્યે જ્યારે આશીફભાઈ અને પરિવાર પરત ફર્યો, ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે લોખંડના કબાટમાં રાખેલ પત્નીના બે અલગ-અલગ પર્સ ગુમ હતા. આ પર્સમાં ફરિયાદીએ પોતાની બચતના કુલ રૂ. 1.10 લાખ રોકડા રાખ્યા હતા જેની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમા મહિલા ઉપર પાડોશી પરિવારનો હુમલો નવલનગરમાં રહેતા સોનલબેન ગોપાલભાઈ પરમાર ગઈકાલે સાંજે 5.30 વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા સુરેશભાઈ, તેની પત્ની નીમુબેન, પુત્રી ગૌરીબેન અને વર્ષાબેન સહિતના શખ્સોએ ધસી આવી ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ સોનલબેન પર હોકી વડે હુમલો કરી ગંભીર માર માર્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં સોનલબેનને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ​આ હુમલા પાછળનું કારણ સગીરાના અપહરણની જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. આરોપી સુરેશનો નાનો ભાઈ જયેશ અગાઉ ફરિયાદી સોનલબેનની સગીર દીકરીને ભગાડી ગયો હતો. આ બાબતે સોનલબેન અને તેમના પરિવારે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેનો ખાર રાખીને આરોપી પરિવાર અવારનવાર ઝઘડો કરતો હતો. બનાવના દિવસે સોનલબેનની દીકરી જ્યારે આરોપીની દુકાને દૂધ લેવા ગઈ હતી, ત્યારે આરોપીઓએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરીને બચાવવા માટે સોનલબેન વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. હાલ આ મામલે પોલીસે હોસ્પિટલ પહોંચી સોનલબેનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:24 pm

પેટ્રોલ પુરાવવા બાબતે મારામારી:સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા કર્મચારી સાથે મારામારી કરી, પાંચ સામે ફરિયાદ

વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠેકરનાથ મહાદેવ મંદિર સામે પેટ્રોલ પંપ પર એક કર્મચારી સાથે પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે મારામારી અને ધમકીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી તાસીનખાન ઉર્ફે સમીરખાન ઉર્ફે એડા યુનુસખાન પઠાણે પોતાના પાંચ-છ મિત્ર સાથે મળીને કર્મચારીને લાકડાના ફટકા માર્યા હતા. ટાંકીમાંથી બોટલમાં પેટ્રોલ ભરવાનું કહી બબાલ કરીફરિયાદી રાહુલભાઈ નાયકા (રહે. સંગમ સ્વાદ ક્વાર્ટર્સ, આઝાદ ચોક, હરણી રોડ, વડોદરા)એ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ સાંજે પોતાની નોકરી પર હાજર હતા. આ દરમિયાન એક અજાણ્યા એક્ટિવાના ચાલકે બોટલ લઈને પેટ્રોલ લેવા આવ્યા હતા. કર્મચારીએ ના પાડતા આરોપીએ ટાંકીમાં પેટ્રોલ ભરાવીને કહ્યું કે હવે ટાંકીમાંથી પેટ્રોલ કાઢી મને બોટલમાં ભરી આપ. બોલાચાલી અને ઝપાઝપી કરીને આરોપીઓ ફરારકર્મચારીએ ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને ઝપાઝપી કરી હતી. તેણે ગડદાપાટુનો માર માર્યો અને પોતાના મોબાઈલથી મિત્રોને બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપીના પાંચ-છ મિત્ર ફોર-વ્હીલર કારમાં આવ્યા અને ત્યાં ગેરકાયદે મંડળી રચી હતી. મિત્રો સાથે મળીને આરોપી કર્મચારીને ડરાવવા હાથમાં લાકડાના ફટકા લઈને બોલાચાલી અને ઝગડો કર્યો હતો. આરોપીઓએ ફરીથી ગાળો આપી અને ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:07 pm

શંખેશ્વરના સીપુરમાં સરપંચ વિરુદ્ધ જાતિ અપમાનની ફરિયાદ:ઘરે એકલી મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સીપુર ગામે ચૂંટણીની અદાવત રાખી મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગામના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ સીપુર ગામના વતની અને હાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કૈલાશબેન વણકર 30 માર્ચના રોજ પિયર આવ્યા હતા. 31 માર્ચના રોજ સવારે કૈલાશબેન ઘરે એકલા હતા ત્યારે ગામના સરપંચ હરીભાઈ જાદવ ત્યાં આવ્યા હતા. મહિલાએ ઘરે કોઈ સભ્ય હાજર ન હોવાનું જણાવતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને ‘હું સરપંચ છું, ગમે તેના ઘરે આવી શકું છું’ તેમ કહી બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો હતો. સરપંચે મહિલાને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને ધમકી આપી હતી કે જો ભવિષ્યમાં મહિલા કે તેમનો ભાઈ વચમાં આવશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. પોતાની પાસે પુષ્કળ પૈસા હોવાનો રોફ જમાવી સરપંચ ત્યાંથી રવાના થઈ ગયા હતા. ભયભીત થયેલી મહિલાએ તુરંત 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં સામાજિક સમાધાનના પ્રયાસોને કારણે ફરિયાદમાં વિલંબ થયો હતો, પરંતુ અંતે શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હરી જાદવ વિરુદ્ધ BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) ની કલમ 173 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ની કલમ 3(1)(r), 3(1)(s) અને 3(2)(va) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:35 pm

મનપાની ચૂંટણી માટે AAP ના 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર

ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ અલગ વોર્ડ માટે કુલ 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 3 માંથી 2 નામો, વોર્ડ નંબર 5 માંથી 3 નામો, વોર્ડ નંબર 6 માંથી 1 નામ, વોર્ડ નંબર 7 માંથી 1 નામ, વોર્ડ નંબર 8 માંથી 1 નામ, વોર્ડ નંબર 9 માંથી 3 નામ, વોર્ડ નંબર 10 માંથી 1 નામ, વોર્ડ નંબર 11 માંથી 4 નામો, વોર્ડ નંબર 12 માંથી 1 નામ તથા વોર્ડ નંબર 13 માંથી 3 નામ જાહેર કર્યા છે. બીજી યાદીમાં મનપાની ચૂંટણી લઈ આપ દ્વારા જાહેર કરેલા નામો વોર્ડ.3 હર્ષદિપસિંહ યાદેજા, વોર્ડ.3 જ્યોતિબેન સાપરા, વોર્ડ.5 રાઠોડ ચંદુભાઈ, વોર્ડ.5 ભાવના ત્રિવેદી, વોર્ડ.5 રેશમાબેન સેખ, વોર્ડ.6 સલીમભાઈ આદમભાઈ મહેતા, વોર્ડ.7 કલોત્રા સુનિલભાઈ રમેશભાઈ, વોર્ડ.8 બીનાબેન ચૌહાણ, વોર્ડ.9 ધવલ અંઝારા, વોર્ડ.5 રેખાબેન મકવાણા, વોર્ડ.9 મહેન્દ્રસિંહ સરવૈયા, વોર્ડ.10 ચૌહાણ સેજલબેન પ્રદીપભાઈ, વોર્ડ.11 સરવૈયા હરેશ વિઠ્ઠલભાઈ, વોર્ડ.11 મનીષા વિજય હિરાણી, વોર્ડ.11 પ્રેરણા રામૈયા, વોર્ડ.11 અશ્વિન સિહોર, વોર્ડ.12 જાગૃતિબેન, વોર્ડ.13 સંજયભાઈ, વોર્ડ.13 માયાબેન, વોર્ડ.13 ધાસિયા જયદીપ તથા વોર્ડ.13 વાલા કૈલાસબા સહિત 21 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે, પહેલી યાદીમાં મનપાની ચૂંટણી લઈ આપ દ્વારા જાહેર કરેલા નામો વોર્ડ નં.1 પરમાર ઇલાબેન જયેશભાઇ, વોર્ડ નં.1 પરમાર બાલાભાઈ સાદુલભાઈ, વોર્ડ નં. 1 સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા, વોર્ડ નં. 1 અલગૌતર હીરાબેન હમાભાઈ, વોર્ડ નં. 10 તેજાણી સુધીરભાઈ પોપટભાઈ, વોર્ડ નં. 2 ઝાપડિયા હેતલબેન મહેશભાઈ, વોર્ડ નં. 2 મુકેશભાઈ ટપુભાઈ મેતાણીયા, વોર્ડ નં. 2 ભોકળવા જગદીશભાઈ છેલાભાઈ, વોર્ડ નં. 2 મલેક યાસ્મીનબેન દિલાવરભાઈ, વોર્ડ નં. 3 જુનેજા તોસીફ રફીકભાઈ, વોર્ડ નં. 4 રાઠોડ ગીતાબા દિલુભા તથા વોર્ડ નં. 4 ઘનશ્યામભાઈ વાલજીભાઈ દેસાઈ સહિતના ઉમેદવારો જાહેર કર્યા છે, ​આ યાદી જાહેર થતા જ હવે સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવો વધી ગયો છે અને અન્ય પક્ષો પણ હવે ટૂંક સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:24 pm

અદાણી હઝીરા પોર્ટમાં સુરક્ષા પર્વની ઉજવણી:55મા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ અને આરોગ્ય લક્ષી જાગૃતિ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

ઔદ્યોગિક સલામતી અને કર્મચારીઓના કલ્યાણને પ્રાધાન્ય આપતા અદાણી હઝીરા પોર્ટ લિમિટેડ (AHPL) દ્વારા 55મો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 2026ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોર્ટના કર્મચારીઓ અને સહયોગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુરક્ષા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. સુરક્ષા સંસ્કૃતિનો ઉદય અને થીમ આ વર્ષે આ કાર્યક્રમ “લોકોને જોડો, શિક્ષિત કરો અને સશક્ત બનાવો જેથી સુરક્ષા વધે” થીમ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉજવણીનો પ્રારંભ અદાણી હજીરા પોર્ટના ચીફ ઓપરેટિંગ ઓફિસર પંકજ ઉકે દ્વારા નેશનલ સેફ્ટી કાઉન્સિલના ધ્વજવંદન સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંકજ ઉકેએ જણાવ્યું હતું કે, સુરક્ષા એ માત્ર પાળવાની પ્રક્રિયા નથી, પરંતુ તે આપણી કાર્ય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. તેમણે સંસ્થાના “ઝીરો હાર્મ” વિઝન પર ભાર મૂકી સૌને સુરક્ષિત કાર્યશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. વિવિધ સ્પર્ધાઓ અને જાગૃતિ સત્રો સમગ્ર સપ્તાહ દરમિયાન જ્ઞાન અને મનોરંજનનો સમન્વય સાધતી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં ઓનલાઇન ક્વિઝ, સ્લોગન-પોસ્ટર સ્પર્ધાઓ અને હેઝર્ડ સ્પોટિંગ જેવા અભ્યાસ દ્વારા કર્મચારીઓની સતર્કતા ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે નિષ્ણાતો દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ, માનસિક આરોગ્ય અને હાર્ટ હેલ્થ અંગે વિશેષ માર્ગદર્શન સત્રો યોજાયા હતા. મહિલા કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે ખાસ હેલ્થ અવેરનેસ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સન્માન અને સામાજિક સંદેશ કાર્યક્રમના સમાપન સમારંભમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે નુક્કડ નાટક દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરવાનો ભાવસભર સંદેશ આપવામાં આવ્યો હતો. AHPL મેનેજમેન્ટે તમામ વિભાગોનો આભાર માનતા જણાવ્યું હતું કે, “દરેક કર્મચારી સુરક્ષિત ઘરે પહોંચે” તે જ અમારું અંતિમ લક્ષ્ય છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:05 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર:2500થી વધુ ઉમેદવારોને તક, મનોજ સોરઠીયાએ કહ્યું- સામાન્ય અને યુવાનોને રાજકારણમાં સ્થાન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેને લઈને રાજ્યમાં રાજકીય ચહલપહલ વધી છે, ત્યારે ફક્ત કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતે વાત કરતાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આજે ખૂબ આનંદ સાથે આમ આદમી પાર્ટીનું 2500થી વધારે ઉમેદવારોનું બીજું લિસ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. તમામ યુવાનો અને સામાન્ય લોકો, જેમને અત્યાર સુધી રાજકારણમાં તક મળી નથી, તેમને આમ આદમી પાર્ટી ગર્વ સાથે તક આપી રહી છે. ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ઉમેદવારો આગામી સમયમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર, લૂંટ અને ભ્રષ્ટાચાર સામે લડવા તેમજ લોકોના અધિકારો માટેની લડાઈને આગળ ધપાવવા મેદાનમાં ઉતરશે. તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને ગુજરાતની જનતાને પણ શુભેચ્છા પાઠવી કે પ્રથમ વખત આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. સૌને શુભેચ્છાઓ અને જીત માટે શુભકામનાઓ.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:59 pm

Editor's View: ટ્રમ્પની સેના પર સર્જિકલ સ્ટ્રાઇક:આર્મી ચીફની રાતોરાત હકાલપટ્ટી, તુલસી ગબાર્ડ અને કાશ પટેલ પર તલવાર લટકી, યુદ્ધ ટાણે અમેરિકામાં યાદવાસ્થળી

અત્યારે અમેરિકા ઈરાન પર ઓપરેશન એપિક ફ્યૂરી કરીને મિસાઈલ્સના મારા ચલાવી રહ્યું છે અને બીજી બાજુ પોતાના જ દેશમાં ઓપરેશન શુદ્ધિકરણ કરીને પોતાના જ અધિકારીઓને હટાવી રહ્યું છે. યુદ્ધની ભીષણ આગ વચ્ચે ટ્રમ્પે પોતાના જ આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને ઘરભેગા કરી દીધા છે. આટલું તો ઠીક અમેરિકાન ઈન્ટેલિજન્સ ડિપાર્ટના ડિરેક્ટર તુલસી ગબાર્ડ અને એફબીઆઈના ગુજરાતી મૂળના ડિરેક્ટર કાશ પટેલને હટાવી દેશે તેવી અફવા કે સમાચારો વહેતા થયા છે. દેશ હોય કે દુનિયા સામાન્ય રીતે ઓફિસર્સને બંધારણને સમર્પિત હોવું જોઈએ પણ ટ્રમ્પ ઈચ્છે છે કે નેતાઓ અને હવે તો અધિકારીઓ પણ તેમની જ વાત માને. આર્મી ચીફને હટાવી દેતા હવે ઈરાન સામેની જંગમાં સૈનિકોના મનોબળમાં શું અસર પડશે અને આ ઓપરેશન ક્લિનઅપથી અમેરિકામાં કેવી આંતરિક યાદવાસ્થળી થશે એની તેનાથી અમેરિકાના દુશ્મનોને કેટલો ફાયદો થઈ શકે આજે વાત કરીએ. નમસ્કાર... સૌથી પહેલા તો આપણે જે આર્મી ચીફની હકાલપટ્ટી કરવામાં આવી છે તેમની વાત કરીએ... બહાનું સિગ્નલનું પણ હટાવાનું કારણ કંઈક બીજું? હકાલપટ્ટી તો કરી નાખી પણ કેમ થઈ તેની પણ વાત કરીએ. ઓફિશિયલ કારણ કહેવામાં આવ્યું છે તે છે સિગ્નલ એપ વિવાદ. આર્મી ચીફ પર ડિફેન્સ સચિવ પીટ હેગસેથનો આક્ષેપ છે કે તેમણે સેન્સિટિવ વાતો સિગ્નલ મારફતે શેર કરી છે. પણ આંતરરાષ્ટ્રીય બાબતોના એક્સપર્ટ્સ અને રાજકીય પંડિતો માને છે આ તો એક બહાનું છે. કહેવાય છે કે જનરલ જ્યોર્જ એ વાતના કટ્ટર રીતે માનતા હતા કે સેના અને રાજનીતિ બંને અલગ હોવું જોઈએ. રાજનીતિમાં સેના આવે તો ચાલે પણ સેનાને તો રાજનીતિથી દૂર જ રહેવું જોઈએ. ટ્રમ્પ સરકારને એવા અધિકારીઓ જોઈએ છે જે વ્હાઈટ હાઉસના આદેશોને બંધારણના ચશ્મા પહેર્યા વગર માને. સાવ સાદી રીતે સમજીએ તો ટ્રમ્પને સેના ચીફ જોડે વિચારો મેળ નહોતા ખાતા. ખાલી આટલું જ નહીં હેગસેથે તો એવું કહ્યું કે બીજા વર્લ્ડ વોરમાં ખાલી 7 જ ફોર સ્ટાર જનરલ હતા, આજે અમેરિકામાં 44 ફોર સ્ટાર જનરલ છે. હેગસેથને આમાં 20 ટકા કાપ મૂકવો છે. આ યોજનામાં યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM), યુરોપિયન કમાન્ડ (EUCOM) અને આફ્રિકા કમાન્ડ (AFRICOM) ને મર્જ કરીને એક નવું US ઇન્ટરનેશનલ કમાન્ડ બનાવવાની દરખાસ્ત પણ છે. જે કરવામાં જ્યોર્જ તેમને નડતા હતા. અંદરખાને એવી પણ વાત છે કે હેગસેથે લશ્કરમાંથી કેટલાક બ્લેક અધિકારીઓના પ્રમોશન અટકાવી રાખવા દબાણ કર્યું હતું પણ જનરલ જ્યોર્જે આનો વિરોધ કર્યો. મેરિટ વિરુદ્ધ વફાદારીમાં જ્યોર્જની હકાલપટ્ટી થઈ. આ મામલે અમેરિકાના પાંચ રિટાયર્ડ ડિફેન્સ સચિવોએ પત્ર લખીને ચેતવણી આપી છે કે આ હકાલપટ્ટીઓ પક્ષપાતી છે. તેનાથી સૈનિકોમાં સાચુ ન બોલવાનો ડર પેદા થશે. AIને આર્મીમાં અને ડ્રોનનો દુશ્મન ટેન્ક; જનરલ જ્યોર્જની દેન હવે જનરલ રેન્ડી જ્યોર્જની એવી વાતો કરીશું જેનાથી અમેરિકન આર્મીની તાકાત વધી. તેમની એક્સપર્ટી ટેક્નિકલ લેવલે છે, જેનો ફાયદો અમેરિકન આર્મીને યુદ્ધમાં પણ થયો. જનરલ જ્યોર્જના કારણે જ અમેરિકાને M1E3 અબ્રામ્સ નામનો ટેન્ક મળ્યો જેને ડ્રોન્સના હુમલાની કોઈ અસર નથી થતી, ઉપરથી આ ટેન્કમાં AI સિસ્ટમ પણ છે. જનરલ જ્યોર્જના જ કારણે અમેરિકાને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી મળી. જેના કારણે અમેરિકન આર્મી ચાલુ યુદ્ધે પણ મેદાનમાં જ સ્પરપાર્ટ્સ બનાવી શકે છે. દુશ્મનના ડ્રોન ટોળાઓને તોડી પાડવા માટે લેસર અને એન્ટી-ડ્રોન મિસાઇલ સિસ્ટમની તૈનાતી પણ જનરલ જ્યોર્જની આગેવાનીમાં જ થઈ. જનરલ જ્યોર્જની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ ક્રિસ્ટોફર લાનેવને કાર્યકારી ચીફ બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે લાનેવ હેગસેથના નજીકના સહાયક પણ રહ્યા છે. આ એપોઈન્ટમેન્ટ એક ક્લિયર મેસેજ છે કે પેન્ટાગોનમાં માત્ર એ જ ટકી રહેશે જે ટ્રમ્પ અને તેમની સરકારના નેતાઓની જી હજૂરી કરે. આ ઓપરેશન શુદ્ધિકરણમાં આર્મી ટ્રાન્સફોર્મેશન ચીફ જનરલ ડેવિડ હોડને પણ હટાવી દેવામાં આવ્યા છે. તાજા ઉદાહરણોની વાત કરી પણ હવે ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે કેટલા અધિકારીઓને હટાવ્યા તેની પણ વાત કરીએ. ટ્રમ્પને પસંદ માત્ર ચરણ-ચૂંબન અધિકારી? ટ્રમ્પનું માનવું છે કે લશ્કરમાં સામાજિક સમાનતા અને વિવિધતાના નામે સૈન્યની લડાયક ક્ષમતા સાથે બાંધછોડ કરવામાં આવી છે. એટલે તેઓ અધિકારીઓને હટાવી રહ્યા છે, પણ અંદરખાને એવી વાતો થઈ રહી છે કે ટ્રમ્પને તેના ચરણ ચૂંબન કરે તેવા જ અધિકારીઓ તેની આસપાસ જોઈએ છે. પણ દુનિયામાં અત્યારે આ જ નથી ચાલી રહ્યું. અમેરિકાના રહેમ નજર હેઠળ ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે. અત્યારે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને આર્થિક રીતે તોડી ભાંગવા કસમ ખાઈ ચૂક્યું છે. જો કે જમીની હકિકત એ છે કે ઈરાને હજુ હાર નથી માની. ઉલટાનું ઈરાનના સસ્તા ડ્રોન અમેરિકાની મોંઘી એર ડિફેન્સ સિસ્ટમને થકવી રહ્યા છે. આર્મી ચીફ હટતા આર્મી જવાનોનું મનોબળ ડગશે? જ્યારે આ બધુ થઈ રહ્યું હોય એવા કપરા સમયે અનુભવી સેનાપતિને હટાવી ટ્રમ્પ શું મેળવી લેવા માગે છે તે મોટો સવાલ છે કારણ કે આ સમયે તો તેમના સેનાના જવાનો આર્મી ચીફની મેન્ટલી અને ઈમોશનલી રીતે ખાસ જરૂર હોય છે. જ્યારે ચીફ કમાન્ડ બદલાય ત્યારે તેની રણનીતિ પણ નવા ચીફ મુજબ બદલાતી હોય છે. જે અમેરિકાના દુશ્મન માટે સારી વાત બની શકે છે. આ તમામ હરકતો પર રશિયા અને ચીન ચાંપતની નજર રાખીને બેઠા હશે કારણ કે અમેરિકાનો આ અંદરોઅંદરનો ઝઘડો તેમને ગ્લોબલી અને યુદ્ધમાં પણ નબળું કરી શકે તેમ છે. વિપક્ષને સાણસામાં ન લઈ શક્યાં તો હાંકી કાઢ્યાં? પેન્ટાગોનમાં જનરલોની હકાલપટ્ટી તો માત્ર હિમશિલાની ટોચ છે. વોશિંગ્ટનના સત્તાના કેન્દ્રમાં અત્યારે એક એવી શુદ્ધિકરણ ઝુંબેશ ચાલી રહી છે જેણે ટ્રમ્પના સૌથી નજીકના સાથીઓને પણ ફાળ પાડી દીધી છે. એપ્રિલ 2026ની શરૂઆત જ એક મોટા ધડાકા સાથે થઈ છે એટર્ની જનરલ પામ બોન્ડીની અણધારી વિદાય. 2 એપ્રિલ, 2026ના રોજ જ્યારે આખું અમેરિકા ઈરાન યુદ્ધના સમાચારમાં વ્યસ્ત હતું, ત્યારે અચાનક સમાચાર આવ્યા કે એટર્ની જનરલ પામ બોન્ડીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ઓફિશિયલી કહેવામાં આવ્યું કે પામ સ્વૈચ્છિક રીતે નીકળવા માગે છે પણ પડદા પાછળ તો કંઈક બીજી જ ગેમ ચાલી રહી છે. કહેવાય છે કે બોન્ડીને હાંકી કાઢવામાં બાળ તસ્કર અને જેફરી એપ્સ્ટિન ફાઈલ્સ જવાબદાર છે. ટ્રમ્પને જેફરી એપ્સ્ટિન કેસમાં જે માહિતીઓ સામે આવી તેમાં પોતાના વિરોધીઓને ફસાવવાનો પ્લાન હતો પણ પામ આવું કરી ન શક્યાં. ટ્રમ્પ ઈચ્છતું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ઝડપથી ટ્રમ્પની સામેના પક્ષના નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરે પણ પામ બોન્ડીની રાજનીતિ ટ્રમ્પના બદલાની આગના ગિયરમાં ફિટ ન બેઠી અને તેમને હાંકી કાઢવામાં આવ્યા. ટ્રમ્પના 'તુલસી' માસ્ટરસ્ટ્રોકનું સૂરસૂરિયું? હવે વાત કરીએ તુલસી ગબાર્ડની કારણ કે કહેવાય છે કે ઈરાન યુદ્ધમાં તેમણે જે ખુલાસાઓ કર્યા તેના કારણે તેમને ટ્રમ્પ હકાલપટ્ટી કરી શકે છે. તુલસી હાલ અમેરિકાની ઈન્ટેલિજન્સ નેટવર્કના ડિરેક્ટર છે. જ્યારે 2025માં તેમને ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા ત્યારે આને ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવ્યો હતો પણ એપ્રિલ 2026 આવતા સુધીમાં તો સૂરસૂરિયું થઈ ગયું. બંનેના વિચારો મેળ ન ખાયા અને સંબંધોમાં તિરાડ પડવાની વાતો સામે આવી રહી છે. તુલસી ગબાર્ડ હિંદુ પણ ભારતીય નહીં તુલસી ગબાર્ડને શા માટે હટાવવામાં આવી શકે તેની વાત કરીએ તેના પહેલા એક વાત ક્લિયર કરી લેવી જોઈએ કે તુલસી ભારતીય મૂળના નથી. તેમના માતા ક્રિશ્યનમાંથી હિંદુ બન્યા હતા માટે તેમનું નામ તુલસી છે. હવે તુલસીની વાત કરીએ તો તે ભારત અને અમેરિકાની વિદેશ નીતિ સુધરે અને બંને દેશોના સંબંધો સારા થાય તેવી વિદેશનીતિમાં માનવાવાળા છે. આ સિવાય તે યુદ્ધ વિરોધી માનસિકતાવાળા પણ છે. તેમણે ઈરાન સામેના યુદ્ધના જસ્ટિફિકેશન સામે પણ સવાલો ઉઠાવનારા અધિકારીઓનો બચાવ કર્યો હતો. ખાસ કરીને તેમના ડેપ્યુટી જો કેન્ટના રાજીનામા પછી ગબાર્ડે જે રીતે મૌન રાખ્યું તે ટ્રમ્પને ગમ્યું ન હતું. ઈન્ટેલિજન્સ વડાં તુલસી ગબાર્ડને ઘરે બેસાડશે ટ્રમ્પ? અમેરિકાના સેનેટમાં જ્યારે ગબાર્ડે યુદ્ધ મામલે વાત મૂકી હતી ત્યારે તેમણે એક ચોંકાવનારી વાત કહી હતી કે ઈરાને હજુ પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય લીધો જ ન હતો. તેમનો પરમાણુ કાર્યક્રમ તો ક્યારનો'ય નષ્ટ થઈ ગયો હતો. આ નિવેદન ટ્રમ્પના યુદ્ધ શરૂ કરવાના દાવાને ઉઘાડો પાડે છે કે ઈરાન ન્યુક્લિયર હથિયાર બનાવી રહ્યું છે અને તેને રોકવાનું છે. ટૂંકમાં ટ્રમ્પે ખોટું બોલીને યુદ્ધ શરૂ કર્યું તે દુનિયા સામે ઉઘાડું પડી ગયું જે ટ્રમ્પને ગમ્યું નહીં. એટલે ગમે તેમ ટ્રમ્પને હવે તુલસી ગબાર્ડને હટાવવા છે કારણ કે તે ટ્રમ્પના આક્રમક યુદ્ધના વિચારો સાથે મેળ નથી ખાઈ રહ્યા. તુલસી ગબાર્ડ પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે તેમણે વ્હાઈટ હાઉસની મંજૂરી વગર 37 મોટા અધિકારીઓના સિક્યોરિટી ક્લિયરન્સ રદ કરી દીધા હતા જેના કારણે વહીવટમાં અંદરોઅંદરનો મૌન ઝઘડો વધ્યો હતો. FBI વડા કાશ પટેલની ગમે ત્યારે થઈ શકે હકાલપટ્ટી? બીજું નામ સામે આવે છે જેના પર પણ તલવાર લટકી રહી છે તે છે ગુજરાતી મૂળના કાશ પટેલ, જે અત્યારે FBIના ડિરેક્ટર છે. પામ બોન્ડી બાદ હવે ટ્રમ્પની નજર કાશ પટેલ પર છે. થયું કંઈક એવું છે કે 27 માર્ચે ઈરાનની હંદલા હેક ટીમે કાશ પટેલના જીમેઈલ એકાઉન્ટને હેક કરી લીધું હતું. માત્ર આટલું જ નહીં ત્યાર બાદ હેકર્સે કાશ પટેલના પર્સનલ ફોટોઝ અને અમેરિકાના સેન્સિટિવ ડેટા પબ્લિક કરી ફેલાવી દીધા હતા. યુદ્ધના સમયે એફબીઆઈ ચીફની સુરક્ષામાં આટલું મોટું ગાબડું પડે તે ટ્રમ્પ માટે મોઢા પર તમાચો કહેવાય. આ સિવાય જૂના એફબીઆઈ એજન્ટ્સે કાશ પટેલ સામે ગેરકાયદેસર રીતે તેમને બરતરફ કર્યા અને વેર રાખીને કામ કરાવ્યું તે બદલ કેસ પણ કર્યો છે. આ કેસમાં જે પુરાવાઓ સામે આવી રહ્યા છે તેનાથી પટેલની છબી અલગ રીતે ચીતરાઈને સામે આવી રહી છે. વધુ એક મુદ્દાની વાત કરીએ તો ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચાર્લી કિર્ક નામના ટ્રમ્પના કટ્ટર સમર્થકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે કાશ પટેલે એક્સ પર એક માહિતી શેર કરી હતી જે પછીથી ખોટી સાબિત થઈ હતી. આવી ભૂલોના કારણે કહેવાય છે કે ટ્રમ્પનો વિશ્વાસ કાશ પટેલ પરથી ડગમગ્યો છે. ટ્રમ્પના ઓપરેશન શુદ્ધિકરણના મહિલા શિકાર ટ્રમ્પના વધુ એક શિકાર બન્યા હતા હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ. ગયા મહિને તેમને હટાવીને સ્પેશિયલ એન્વોય બનાવી દીધા છે. ટ્રમ્પે પોતાની છબી અતિ રાષ્ટ્રવાદી રાખવા માટેનો સૌથી મોટો એજેન્ડા બીજા દેશથી અમેરિકા આવતા લોકોનો દેશનિકાલ કરવાનો છે. નેઓમની નબળી લીડરશીપના કારણે સરહદ પરની સ્થિતિ સુધરવાને બદલે બગડી છે એવું ટ્રમ્પનું માનવું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં પૂર આવ્યું અને ICE એજન્ટ્સ દ્વારા ગોળીબારી થઈ તેમાં નાઓમ પૂરી રીતે વાતને હેન્ડલ નહોતા કરી શક્યા. જેના કારણે તેમની પાસેથી જવાબદારી છીનવી લેવામાં આવી હતી. પત્ની ખૂબસૂરત હોવાથી તમને નોકરી આપીઃ ટ્રમ્પ આ બધુ જોઈને એવો અર્થ કાઢી શકાય કે ટ્રમ્પ સરકારમાં એક પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમને ટ્રમ્પ સરકારમાં સારું કામ કરવું હોય તેમને બંધારણ શું કહે છે તે નહીં પણ ટ્રમ્પ શું કહે છે તે માનવું પડશે. તેમની હામાં હા અને નામાં ના કહેવું પડશે. જો તે આવું કરશે તો વફાદાર અને જો નહીં કરે તો હકાલપટ્ટી નક્કી છે. આ અંધાધૂંધી સાબિત કરે છે કે ટ્રમ્પ હવે સરકાર ચલાવવાના એ તાનાશાહ મોડમાં પહોંચી ગયા છે જ્યાં તેમને ટીકા નહીં પણ માત્ર વખાણ કરનાર લોકો જ જોઈએ છે. એક મહિલાને તો તેમણે દુનિયાની સામે જાહેરમાં એવું કહી દીધું હતું કે તમારા પતિને મેં એટલે નોકરી પર રાખ્યા છે કારણ કે તે બહુ ખૂબસૂરત છે. આ મહિલા એટલે કેથરીન બર્ગમ અને તેમના પતિ એટલે ગૃહ સચિવ ડગ બર્ગમ. ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પની સંગીત ખુરશી કેવી રીતે અમેરિકાનો બેડો પાર કરશે તે મોટો સવાલ છે. ટ્રમ્પના ફાંકાથી યુદ્ધનો હાલ અલગ આજે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને 35 દિવસ પૂરા થયા છે. તહેરાન અને ઈઝરાયલમાં બંદૂકો અને મિસાઈલ્સ ગરજી રહી છે. પણ અહીં એક વાત જોવા જેવી છે તે છે યુદ્ધ વિશે ટ્રમ્પના દાવાઓ અને જમીની હકીકત. પેન્ટાગોનથી મળતા સમાચારોને ટ્રમ્પના નિવેદનો સાથે કમ્પેર કરીએ તો યુદ્ધનું ચિત્ર કંઈક અલગ સામે આવી રહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમણે ઈરાનની પરમાણુ શક્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રાખ કરી દીધું છે પણ ઈરાન તરફથી હજુ પણ હુમલા ચાલુ છે અને તુલસી ગબાર્ડ મુજબ તો ન્યૂક્લિયર પ્રોગ્રામ ક્યારનો'ય નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. ગઈકાલે જ અમેરિકાએ તહેરાન પાસેના બીવન બ્રિજને તોડી પાડ્યો. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી કે હવે તમારા ગેસ અને પાવર પ્લાન્ટનો વારો છે. જવાબમાં ઈરાને આજે જ તેલ અવીવના રેલવે સ્ટેશન પર મિસાઈલ ફેંકી. એક રીતે ટ્રમ્પને ઈરાન સાથે યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી પણ યુદ્ધ છેડ્યું અને અમેરિકાના 15 જવાનોને શહાદત વહોરવી પડી, 500થી વધુ અમેરિકન સૈનિકો ઘાયલ છે તે અલગ વાત છે. ઈરાનનું કહેવું છે કે તેણે અમેરિકાનું લડાકુ વિમાન એફ-35 તોડી પાડ્યું છે. જો આ સાચું હોય તો આ અમેરિકા માટે બિલકુલ સારી વાત નથી. અમેરિકામાં આંતરિક યાદવાસ્થળી ઈરાને ગ્લોબલ સપ્લાય ચેઈન રોકવા હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધું છે. અનેક ધમપછાડા અને અનેક દેશોને ધમકી બાદ પણ કોઈ ટ્રમ્પ સાથે હોર્મુઝ ખોલવા સાથે ન આવ્યું તો છેલ્લે ટ્રમ્પને પોતાને મોટા બતાવવા એવું કહેવું પડ્યું કે હોર્મુઝ ખોલવું અમારી જવાબદારી નથી. આજે ગ્લોબલ લેવલે તેલના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. અમેરિકામાં પણ ધીમે ધીમે યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે, લેબર માર્કેટ નબળુ પડી રહ્યું છે. આવા ગંભીર સમયે ટ્રમ્પ ઓપરેશન ક્લિનઅપ ચલાવે છે તો અમેરિકાના નેતાઓ અને લોકો તેને કઈ નજરે જોશે તે મોટો સવાલ છે. જે થાય તે પણ અમેરિકાના દુશ્મનોને આ આંતરિક યાદવાસ્થળીથી મજા પડી ગઈ છે. અમેરિકા આફતમાં રશિયા-ચીન મોજમાં તેલના ભાવ વધતાની સાથે જ રશિયાને અબજો ડોલરનો નફો થયો છે. દુનિયાને તેલ જોઈએ છે અને રશિયા તે વેચીને માલામાલ થઈ રહ્યું છે. કહેવાય છે કે રશિયા ઈરાનને સેટેલાઈટ ઈમેજનરી આપી રહ્યું છે જેથી ઈરાન અમેરિકા પર ચાપતી નજર રાખી શકે. ચીન આ મામલે પોતાને ન્યુટ્રલ કહે છે અને તે પણ બેફામ રૂપિયા છાપી રહ્યું છે. હોર્મુઝમાં થતા યુઆન પેમેન્ટને કારણે એક પળે તો એવી માહિતી પણ આવી ગઈ હતી કે ચીન આડકતરી રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. અમેરિકાએ યુદ્ધની ચિન્ગારીથી ભડકો પણ કરી દીધો પણ હવે યુદ્ધ રોકી નથી શકતું એટલે ચીન પાકિસ્તાન સાથે મળીને યુદ્ધ રોકવા મેદાને આવ્યું છે. જેના કારણે ચીનની ઈમેજ પણ ગ્લોબલ લેવલે સુધરી રહી છે અને અમેરિકાની ગ્લોબલ પાવરને ફટકાર મળી રહ્યો છે. અને છેલ્લે... અમેરિકાની છબી દુનિયામાં એવા દેશની છે જ્યાં લોકશાહી ટોપ લેવલે છે અને તેની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. પણ તુલસી ગબાર્ડ, કાશ પટેલ, જનરલ જ્યોર્જના સમાચારોના કારણે અમેરિકાની આ જ છબી પર મોટો તમાચો છે. અમેરિકા અત્યારે એક નહીં બે મોરચે લડી રહ્યું છે, એક તો બહારથી ઈરાનમાં અને બીજુ અંદરથી પોતાનામાં જ. જેનો ભરપૂર લાભ તેના દુશ્મન દેશો લઈ રહ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:55 pm

ગુજરાત ભાજપ લઘુમતી મોરચાની નવી ટીમ જાહેર:વિવિધ જિલ્લાઓને પ્રતિનિધિત્વ, સંગઠન મજબૂત કરવાની દિશામાં પગલું, પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ 21 સભ્યોની નિયુક્તિ

ગુજરાતમાં ભાજપ દ્વારા લઘુમતી મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ અને સંગઠન મહામંત્રી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિયુક્તિઓ જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. નવી જાહેર કરાયેલી યાદી અનુસાર લઘુમતી મોરચામાં કુલ 21 આગેવાનોને વિવિધ હોદ્દાઓ પર જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ અને પ્રદેશ કાર્યાલય મંત્રી જેવા મહત્વના હોદ્દાઓનો સમાવેશ થાય છે. ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, કચ્છ, નવસારી અને ભરૂચમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વાસિમભાઈ શેખ, હુસેનભાઇ દલ, મોહંમદ ઇલિયાસભાઈ મલેક, અબ્દુલ વહાબખાન પઠાણ સહિતના આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. વિવિધ જિલ્લાઓ જેમ કે ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, કચ્છ, નવસારી અને ભરૂચમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, જે સંગઠનના વ્યાપને દર્શાવે છે. તે જ રીતે પ્રદેશ મહામંત્રી તરીકે તારિકભાઈ સોલંકી, અબ્બાસી સદાબ અબ્દુલકાદર અને અન્ય આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ મંત્રીમંડળમાં પણ રાજકોટ, જામનગર, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાંથી પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે રફિકભાઈ અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે અલ્તાફભાઈ બુખારીની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી તેજ કરશેપાર્ટી દ્વારા જણાવાયું છે કે, આ નવી ટીમ સાથે લઘુમતી મોરચા વધુ સક્રિય બનીને રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવશે અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી તેજ કરશે. આ નિયુક્તિઓને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિવિધ વિસ્તારોને સમાવીને બનાવવામાં આવેલી ટીમ ભાજપના લઘુમતી સમુદાય સુધી પહોંચ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:43 pm

'તમારો કારીગર મારી પત્નીને મેસેજ કેમ કરે છે?':પત્નીને મેસેજ કરવા મામલે પતિએ ઉશ્કેરાઈને વેપારી પર બેટ અને છરાથી જીવલેણ હુમલો કર્યો, ઇજાગ્રસ્તને SSGમાં ખસેડાયા

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતાં પતિએ તેની પત્નીને મેસેજ કરવાના મુદ્દે વેપારી પર બેટ અને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી વેપારી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેપારીને માથામાં ચાર ટકા આવ્યા છે. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. કારખાનામાં આવીને તેમની પત્નીને મેસેજ કરવાના મુદ્દે ઝઘડો કર્યોવડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને ચિકન શોપનો વ્યવસાય કરતા 44 વર્ષીય મહોમ્મદ ફારૂક ગુલામ કાદર શેખ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. ત્યારે તેમના કારખાનામાં કામ કરતા કારીગરનો ફોન આવ્યો હતો કે, ફૈસલ ઇફતીઆર ખાન પઠાણ કારખાનામાં આવીને તેમની પત્નીને મેસેજ કરવાના મુદ્દે ઝઘડો કરી રહ્યો છે. થોડી જ વારમાં ફૈસલ પઠાણ ફારૂકભાઈના ઘરની નીચે પહોંચી ગયો હતો અને તમારો કારીગર મારી પત્નીને મેસેજ કેમ કરે છે, તેમ કહીને ઉશ્કેરાઈને બેટ વડે તેમના માથામાં જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાથી ફારૂકભાઈને ઈજા પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે SSGમાં ખસેડવામાં આવ્યા હતાઆ હુમલા દરમિયાન તેમણે પોતાની બચાવ માટે નજીકમાં પડેલી લાકડી વડે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આરોપી દુકાનમાંથી માંસ કાપવાનો છરો લઈ આવ્યો હતો અને ફારૂકભાઈના હાથ પર હુમલો કર્યો હતો. જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્ત ફારુકભાઈને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમના માથામાં ચાર ટાંકા આવ્યા હતા. વેપારીએ આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે ફૈસલ ઇફતીઆરખાન પઠાણ (રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા) સામે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:42 pm

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો:પોલીસે સ્ટંટબાજની અટકાયત કરી બાઈક કબ્જે કરી

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટનો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક યુવકે બાઇક પર જીવલેણ સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયા અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટંટ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. વાયરલ થયેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક યામાહા MT-15 બાઇક પર દોડતી વખતે સ્ટીયરિંગ પરથી બંને હાથ છોડી દે છે અને બાઇક પર ઊભો રહી સ્ટંટ કરે છે. વ્યસ્ત નેશનલ હાઇવે પર આ પ્રકારની બેદરકારી અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે. મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ અને જિલ્લા ટ્રાફિક શાખા સક્રિય થઈ હતી. જિલ્લા ટ્રાફિક શાખાના વિજયભાઈ ગોવિંદભાઈ બારડ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુજકોપના આધારે આરોપીની ઓળખ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ પ્રભાસ પાટણના લાલજી સોમાભાઈ બામણીયા (ઉંમર 32) તરીકે થઈ હતી. તેણે કબૂલ્યું હતું કે 2 એપ્રિલના રોજ સુત્રાપાડા હનુમાન જયંતિ પ્રસંગે જતી વખતે તેણે કાજલી બાયપાસ રોડ પર આ સ્ટંટ કર્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. પોલીસે આરોપીની યામાહા MT-15 બાઇક (રજી. નં. GJ-32-AC-9598) કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત 50,000 રૂપિયા છે. લાલજી બામણીયા વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર માર્ગો પર સ્ટંટ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:40 pm

ચાલુ ટ્રેને ચડવા જતાં મહિલા પ્લેટફોર્મ પર પટકાઈ, CCTV:ઉતાવળે કોચમાં ચડવાનો પ્રયાસ કરતા સંતુલન બગડ્યું અને પગ લપસ્યો, સુરત રેલવે સ્ટેશન પર GRP જવાનોએ મોતના મુખમાંથી ખેંચી લીધી

સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી છે. પ્લેટફોર્મ પર ફરજ બજાવતા જીઆરપીના બે જવાનોએ એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેતા સ્ટેશન પર હાજર સૌ કોઈએ તેમને સલામી આપી હતી. અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ જાય તે પહેલા જ જવાનોએ તેને ખેંચી લીધી હતી. અમૃતસર વીકલી ઉપડતી હતી ને મહિલાએ દોટ મૂકીઘટનાની વિગત મુજબ, પ્લેટફોર્મ પરથી ટ્રેન નંબર 12483 (અમૃતસર વીકલી એક્સપ્રેસ) ધીમી ગતિએ રવાના થઈ રહી હતી. આ સમયે એક મહિલા મુસાફરે ઉતાવળમાં ચાલુ ટ્રેને કોચમાં ચડવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, ગતિને કારણે મહિલાએ સંતુલન ગૂમાવ્યું હતું અને તેનો પગ લપસ્યો હતો. જોતજોતામાં મહિલા ટ્રેન સાથે પ્લેટફોર્મ પર ઢસડાવા લાગી હતી. એટલું જ નહીં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ફસાય જોય તો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું. નિતિનભાઈ અને અનિલભાઈ દેવદૂત બનીને આવ્યાપ્લેટફોર્મ પર સુરક્ષામાં તૈનાત GRP હેડ કોન્સ્ટેબલ નિતિન વસાવા અને અનિલભાઈની નજર આ મહિલા પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને બંને જવાનોએ એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના મહિલા તરફ દોટ મૂકી હતી. મહિલા ટ્રેનની નીચે ફંગોળાય તે પહેલા જ બંને જવાનોએ તેને મજબૂતીથી પકડી પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે ખેંચી લીધી હતી. CCTVમાં કેદ થઈ જવાનોની બહાદુરીઆ સમગ્ર ઘટનાને નજરે જોનારા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. મહિલાનો આબાદ બચાવ થતા સ્ટેશન પર હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી વાયુવેગે ફેલાઈ હતી અને લોકો આ બંને જબાંઝ પોલીસકર્મીઓને 'રિયલ લાઈફ હીરો' ગણાવી રહ્યા છે. જીઆરપીના ઉચ્ચ અધિકારીઓએ પણ નિતિનભાઈ અને અનિલભાઈની કામગીરીને બિરદાવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:21 pm

AAPના કાર્યકરો પર કેસ મુદ્દે રાજકીય તણાવ:કેજરીવાલે CMને પત્ર લખતા ભાજપનો પ્રતિકાર, ગોપાલ ઈટાલિયાની કટાક્ષભરી પ્રતિક્રિયા

ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના 150થી વધુ કાર્યકરો અને નેતાઓ સામે ખોટી ફરિયાદો દાખલ કરાઈ હોવાનો AAPનો આરોપ છે. આ મુદ્દે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે. AAPની વધતી લોકપ્રિયતા જોઈને ભાજપ બૌખલાઈ ગઈ છેકેજરીવાલના આ પગલાં બાદ રાજ્યની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. ભાજપે આ આરોપોને નિરાધાર ગણાવી AAP પર રાજકીય સ્ટંટ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કહ્યું કે, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને કોઈને પણ ખાસ રાહત આપવામાં આવતી નથી. આ વચ્ચે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, “AAPની વધતી લોકપ્રિયતા જોઈને ભાજપ બૌખલાઈ ગઈ છે અને વિરોધીઓને દબાવવા માટે ખોટા કેસોનો સહારો લઈ રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આ મુદ્દે સત્ય બહાર લાવવા માટે AAP કાનૂની લડત લડશે અને જનતા વચ્ચે જઈને હકીકત રજૂ કરશે. રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ તેજ બની રહી છે. હવે કેજરીવાલને મુખ્યમંત્રી તરફથી મુલાકાત માટે સમય મળે છે કે નહીં તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:19 pm

વડોદરા બાપા સીતારામ મઢુલી ભંડારામાં 17 હજારથી વધુ ભક્તો ઉમટ્યા:સત્યનારાયણ કથા અને મહાપ્રસાદનો લાભ લીધો, 22 વર્ષની પરંપરા જળવાઈ

વડોદરાના VIP રોડ પર આવેલા એલ એન્ડ ટી સર્કલ નજીક “બાપા સીતારામ મઢુલી” ખાતે ભંડારાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બાપા સીતારામ યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા બગદાણા (શ્રી બાપા સીતારામ) ના પવિત્ર સાંનિધ્યમાં થયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સત્તર હજારથી પણ વધુ ભક્તોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. ભક્તોએ સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ કરી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. બાપા સીતારામ યુવક મંડળ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી આ મહાપ્રસાદનું અવિરત આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર પરંપરા અંતર્ગત દર વર્ષે વડોદરા શહેરના અસંખ્ય ભક્તો ભાવપૂર્વક હાજરી આપી આધ્યાત્મિક સંતોષ મેળવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:16 pm

મહીસાગરમાં સાંજના સમયે વાતાવરણ પલટાયું:વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક રાહત, કમોસમી વરસાદના ભયે ખેડૂતોમાં ચિંતા

મહીસાગર જિલ્લામાં ભર ઉનાળા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે, શિયાળુ પાકની કાપણી બાકી હોય તેવા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, વિરપુર, બાલાસિનોર, કોઠંબા અને ગોધર સહિતના વિસ્તારોમાં દિવસભર આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા. આના કારણે ભર ઉનાળામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. સામાન્ય જનતા માટે આ વાતાવરણ રાહતદાયક બન્યું છે, પરંતુ ખેડૂતો માટે તે ચિંતાજનક છે. જિલ્લામાં હજુ સુધી કોઈ વરસાદ નોંધાયો નથી, પરંતુ વાદળો સતત ઘેરાયેલા રહેતા હવામાનમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ખેડૂતો આગામી દિવસોમાં વાતાવરણ કઈ દિશામાં વળે છે તેના પર નજર રાખી રહ્યા છે. રાજ્યમાં પણ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં બે હવામાન સિસ્ટમ સક્રિય બની છે, જેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે જોવા મળશે. આજે રાજ્યના કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, દિવ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ પ્રવૃત્તિ પણ જોવા મળી શકે છે. જોકે, મહીસાગર જિલ્લા માટે હજુ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીમાં વધુ રાહત મળવાની શક્યતા છે. આ ઉપરાંત, 7 એપ્રિલના રોજ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં, ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં, વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:10 pm

'હવે આ મામલામાં ન પડતો નહીંતર જાનથી મારી નાખીશું':મિત્રની પત્ની સાથેના આડા સંબંધની જાણ કરવાની આશંકામાં યુવક પર પાઈપથી હુમલો, ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં એક યુવકને તેના મિત્રની પત્ની સાથેના આડસંબંધની જાણ કરી હોવાની આશંકામાં ત્રણ યુવકોએ રાત્રે ઘરની બહાર બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને પકડી રાખીને પાઈપથી ગાલ પર ઘા કર્યા અને જીવનની ધમકી આપી હતી. આરોપીઓએ શંકાના આધારે યુવકને ઢોરમાર માર્યોમોતીતળાવ વિસ્તારમાં શેરી નંબર-0, બુરાની મસ્જિદના ખાંચામાં રહેતા જુનેદભાઈ જબ્બારભાઈ ખ્વાજાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મિત્રની પત્ની અરમાન મુનાફભાઈ મલેક સાથે પ્રેમસંબંધ ધરાવે છે. જુનેદભાઈએ આ વાત તેમના મિત્ર અને પરિવારને જણાવી હોવાની આશંકા રાખીને આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. ગત રાત્રે 12.15 વાગ્યે અરમાન મુનાફભાઈ મલેક, અમન અને નુરદીન ઉર્ફે ભુજી (ત્રણેય મોતીતળાવ, કુંભારવાળા)એ જુનેદભાઈને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયોત્યારબાદ ત્રણેયે તેમના પર હુમલો કર્યો. અરમાન અને અમને જુનેદભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે નુરદીન ઉર્ફે ભુજીએ પાઈપથી તેમના ગાલ પર ઘા કર્યા હતા. આરોપીઓએ ઢીંકાપાટુનો માર પણ માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ જુનેદભાઈને ધમકી આપી હતી કે, “હવે તું આ મામલામાં નહીં પડે, નહીંતર તને જાનથી મારી નાખીશું.” ઈજાગ્રસ્ત હાલતમાં જુનેદભાઈને ભાવનગરની સરકારી ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરીજુનેદભાઈની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ત્રણેય આરોપીઓ અરમાન મુનાફભાઈ મલેક, અમન અને નુરદીન ઉર્ફે ભુજી વિરુદ્ધ BNS એક્ટની કલમ 118(1), 351(3), 352, 54, 125(A) તેમજ જીપી એક્ટની કલમ- 135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ મોતીતળાવ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:03 pm

ફરી એકવાર JETની કામગીરી શરૂ થશે:અમદાવાદમાં ટ્રાફિક અને દબાણો દૂર કરવા મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને દબાણો દૂર કરવા મુદ્દે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ માટે ખાસ Joint Enforcement Team (JET)ની રચના કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઇવ ચલાવીને ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગો પરના દબાણો દૂર કરવા માટે કામગીરી કરશે. દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજે કામગીરી કરાશેઆ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં શિસ્તબદ્ધ વર્તન પ્રોત્સાહિત કરવો, જાહેર માર્ગોને સ્વચ્છ અને દબાણમુક્ત રાખવા અને ગેરરીતિઓને અટકાવવાનો છે. આ અભિયાન દરમિયાન રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા પર થતી અડચણો, અયોગ્ય રીતે મૂકાયેલા પોસ્ટર-બેનર અને અન્ય પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે. સાથે-સાથે, નાગરિકોને માર્ગો સ્વચ્છ રાખવા અને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કામગીરી દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજ દરમિયાન યોજાશે. બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશેશહેરના વિવિધ ઝોનમાં જરૂરી વાહનો અને સાધનો જેવી કે દબાણો દૂર કરવા માટેની ગાડીઓ, ટોઇંગ વાહનો, દબાણ ગાડીઓ અને SBM સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કામગીરી દરમિયાન બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે. અમદાવાદના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનમાં પસંદ કરાયેલા મુખ્ય માર્ગો પર આ સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. નાગરિકોને આ માર્ગો પર પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અંગે પૂરતી માહિતી આપવામાં આવશે. જેથી, તેઓ નિયમોનું પાલન સરળતાથી કરી શકે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:38 pm

પિસ્ટલ-કારતૂસ સાથે પકડાયેલો શખસ મર્ચન્ટ નેવીનો ઓફિસર નીકળ્યો:3 લાખનો પગાર હોવા છતાં મિત્ર માટે 'ડિલિવરી બોય' બન્યો, લક્ઝરી બસમાં કપડાંની વચ્ચે સંતાડી હેરાફેરી કરતો ઝડપાયો

ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે તાજેતરમાં હિંમતનગર-અમદાવાદ હાઈવે ચિલોડા આગમન હોટલ સામેના નાકા પોઇન્ટથી પૂર્વ બાતમીના આધારે દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી બિહારના શખસને પિસ્ટલ અને 9 જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો. જેના રિમાન્ડ દરમિયાન આરોપી મર્ચન્ટ નેવીમાં માસિક ત્રણ લાખ રૂપિયાના પગારે નોકરી કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. થેલાની તલાસી લેતા કપડાંની વચ્ચે સંતાડેલી પિસ્ટલ અને કારતૂસ મળ્યાતાજેતરમાં ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે. ચૌહાણની ટીમ દ્વારા ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ સામે હિંમતનગર તરફથી આવતા હાઈવે રોડ પર બેરીકેડ્સ મૂકી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી અમદાવાદ રૂટની બાબુ ટ્રાવેલ્સની બસને અટકાવવામાં આવી હતી. બાદમાં પોલીસ ટીમે બસની અંદર તપાસ કરતા સ્લીપિંગ કોચની સીટ નંબર R પર બેઠેલા પેસેન્જર પાસેથી કાળા કલરનો થેલો મળો આવ્યો હતો. જે થેલાની તલાસી લેતા કપડાંની વચ્ચે સંતાડેલું એક પૂંઠાનું બોક્સમાંથી એક હાથ બનાવટની પિસ્ટલ કી રૂ. 25000 અને રૂ.900ની કિંમતના નવ જીવતા કારતૂસ ઉપરાંત બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પકડાયેલા શખસની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવીઆ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત હોવાનું જણાવ્યું હતું. તે મૂળ બિહારના સિવન જિલ્લાના ગુટની ગામનો વતની છે અને હાલ નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. જેના એક દિવસના રિમાન્ડ મેળવીને પૂછતાછ કરતાં ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે. યુવકે દિલ્હીના શખ્સ પાસેથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લીધી શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત મરચંટ નેવીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. જેની ત્રણ ચાર મહિના શીપમાં નોકરી હોય છે. શિવમનો પગાર આશરે ત્રણ લાખ રૂપિયા છે. જેને તેના એક મિત્રએ દિલ્હીથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લઈ પહોંચતી કરવા કહ્યું હતું. આથી શિવમસિંગ દિલ્હી ગયો હતો. જ્યાં તેના મિત્રએ અગાઉથી જ બધી ગોઠવણ કરી રાખી હતી. તેણે દિલ્હી પહોંચીને દિલ્હીના શખ્સ પાસેથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લીધી હતી. જે આપવા માટે કચ્છ તરફ બસમાં બેસીને રવાના થયો હતો. જોકે તેના મિત્રએ હથિયાર શેના માટે મંગાવ્યું હતું એ વાતથી શિવમ સિંગ અજાણ હોવાનું રટણ કર્યું હતું. હાલમાં તેના મોબાઈલના સીડીઆર મંગાવીને ટેકનિકલ એનાલિસિસિસ થકી આગળની તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:26 pm

પાટણમાં કમોસમી વરસાદ, વીજળીના કડાકા સાથે માવઠું:ખેતીના પાકને નુકસાનની ભીતિ, માર્કેટયાર્ડમાં જણસી પલળી

ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 3 એપ્રિલે પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે પાટણ જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર પછી પાટણ શહેરમાં આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેનાથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી. પાટણ શહેરની સાથે આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતીના પાક પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ખેતરોમાં ઉભેલા ઉનાળુ બાજરી અને કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. જ્યારે જીરૂ સહિતના અન્ય રવિ પાકો, જે હાલ કાપણીની અવસ્થામાં છે અથવા ખળામાં પડ્યા છે, તેને પણ આ વરસાદથી નુકસાન થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. વરસાદની સીધી અસર પાટણના માર્કેટયાર્ડમાં પણ જોવા મળી હતી. યાર્ડમાં વેચાણ અર્થે લાવવામાં આવેલી ખેડૂતોની જણસીઓ અને ખુલ્લામાં પડેલો માલ પલળી ગયો હતો. વરસાદ શરૂ થતા જ વેપારીઓ અને મજૂરોએ માલને બચાવવા માટે પ્લાસ્ટિકથી ઢાંકવાની ભારે મથામણ કરી હતી. અચાનક તૂટી પડેલા વરસાદે માર્કેટયાર્ડમાં કામ કરતા લોકોની દોડધામ વધારી દીધી હતી. જિલ્લાના વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ગરમીમાં આંશિક રાહત મળી છે, પરંતુ ખેતી અને વેપાર ક્ષેત્રે નુકસાનની ભીતિ યથાવત છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:23 pm

કારચાલકની બેદરકારીએ 7 વર્ષીય માસૂમનો જીવ લીધો:રોડ ક્રોસ કરતા 'કિસ્મત'ને પૂરપાટ ઝડપે આવતી કારે ઉડાવ્યો, ડોક્ટરે મૃત જાહેર કર્યો

મહેસાણા નજીક આવેલી રામનગર સોસાયટીના નાકે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષીય કિસ્મત નામના બાળકને કારચાલકે અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે દેવીપૂજક પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારના ચાલકે બાળકને જોરદાર ટક્કર મારી હતીમૂળ પાટણ જિલ્લાના ખોડસમ ગામના વતની અને હાલ મહેસાણાના પિલવાઈ ખાતે રહેતા રવિભાઈ દેવીપૂજકનો પરિવાર મહેસાણાના રામનગર ખાતે રહેતા તેમના ભાઈના ઘરે રોકાવવા માટે આવ્યો હતો. પાંચ દિવસના રોકાણ બાદ ગઇકાલે રવિભાઈની પત્ની અને તેમનો સાત વર્ષનો પુત્ર કિસ્મત પરત પિલવાઈ જવા માટે નીકળ્યા હતા. રામનગર સોસાયટીના નાકે રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી GJ-09-AW-1458 નંબરની કારના ચાલકે બાળકને જોરદાર ટક્કર મારી હતી. પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું આ અકસ્માતને પગલે બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માનવતા દાખવી અકસ્માત સર્જનાર કાર ચાલક જ ઈજાગ્રસ્ત બાળકને પોતાની ગાડીમાં બેસાડી તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. પોતાના વ્હાલસોયા પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. સમગ્ર મામલે બાળકના પિતા રવિભાઈ દેવીપૂજકે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:23 pm

વેરાવળના કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર જેવી મૂર્તિ:હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો, દર પૂનમે રાત્રે મહાઆરતી

વેરાવળની ભાવના સોસાયટીમાં આવેલા કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર હનુમાનજીની આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરમાં દર મહિનાની પૂનમે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતીનું આયોજન થાય છે. તાજેતરમાં, ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં બટુક ભોજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સોસાયટીના રહીશોએ ઘણા વર્ષો પહેલા સારંગપુર હનુમાનજીની આબેહૂબ મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. આજુબાજુના રહેવાસીઓ અને વેપારીઓએ તન, મન અને ધનથી સહકાર આપીને કાર્યસિદ્ધ હનુમાન મંદિરની સ્થાપનામાં યોગદાન આપ્યું હતું. મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર પૂનમે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ મહાઆરતીમાં શહેરભરના ધર્મપ્રેમી જનતા અને શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ભક્તો અહીં માનતા રાખી પૂજા-અર્ચના કરે છે અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે. મંદિરના યુવા સંચાલકો દ્વારા દરરોજ બે ટાઈમ આરતી કરવામાં આવે છે અને વાર-તહેવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. સારંગપુર સ્થિત હનુમાનજી મહારાજની મૂર્તિની આબેહૂબ પ્રતિષ્ઠા વેરાવળ શહેરમાં આસ્થાનું કેન્દ્ર બની છે. અહીં દર્શન કરવા આવતા લોકો પોતાની આસ્થા મુજબ માનતા રાખે છે અને તેમના કાર્યો સિદ્ધ થાય છે તેવી લોકચર્ચા પણ પ્રચલિત છે. આ વર્ષે ચૈત્ર સુદ પૂનમના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે સંચાલકો અને સોસાયટીના રહીશોએ પરિવારજનો સાથે ઉજવણી કરી હતી. સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને ટાઈમ આરતી, હનુમાન ચાલીસાના પાઠ, રાત્રે મહાઆરતી, સાંજે બટુક ભોજન અને રાત્રે મહાપ્રસાદનો સમાવેશ થાય છે. આ માહિતી સંચાલક સેવકો દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:21 pm

ઢાકણીયા હત્યા કેસમાં 6 આરોપીને આજીવન કેદ:બોટાદ કોર્ટે સજા ફટકારી; ત્રણ વર્ષ પહેલા માલધારી યુવકનું ગળુ કાપી નખાયું હતું

બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ ઘટના 4 ફેબ્રુઆરી 2023ના રોજ બની હતી, જ્યારે ઢાકણીયા ગામે નવઘણભાઈ જોગરાણાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતને કારણે છ શખ્સોએ નવઘણભાઈ જોગરાણાની હત્યા કરી હતી. આ કેસની તપાસ માટે બોટાદના DySP મહર્ષિ રાવલની અધ્યક્ષતામાં PI એસ.આર. ખરાડી, PSI વી.સી. ભરવાડ, ASI જીજ્ઞેશ દંગી અને વિક્રમસિંહ પરમારની એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. ઢાકણીયા માલધારી યુવક હત્યા કેસ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે આરોપીઓ ઈકબાલ ઉર્ફે ચકો હકુભાઈ રાઠોડ, દાઉદભાઈ રહીમભાઈ રાઠોડ, અમન ઈકબાલભાઈ રાઠોડ, સાજીદ ઈકબાલભાઈ રાઠોડ, બહાદુર ઈકબાલભાઈ રાઠોડ અને હકુભાઈ રહીમભાઈ રાઠોડને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:21 pm

પાલનપુરમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ શરૂ:વહેલી સવારના ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે માવઠું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ સાંજના સમયે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેણે લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘઉં અને જીરાં જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બદલાતા હવામાનના કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ છે.હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે પવનની આગાહી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ હવામાન અસ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે સાવચેતી રાખવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:11 pm

AC રિપેરિંગના બહાને ડ્રગ્સનો કાળો કારોબાર:સુરતના ગોપીપુરામાં ફ્લેટ પર દરોડો, 6.44 લાખના MD ડ્રગ્સ સાથે મિકેનિક ઝડપાયો; શાહપોરનો 'એઝાઝ બાટલા' વોન્ટેડ

સુરતના ગોપીપુરા વિસ્તારના મોમનાવાડમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલો આરોપી અગાઉ AC અને ફ્રિજ રિપેરિંગનું કામ કરતો હતો પરંતુ, શોર્ટકટથી પૈસા કમાવવાની ઘેલછાએ તેને ગુનાખોરીના રસ્તે ધકેલી દીધો હતો. ગુપ્ત બાતમીના આધારે જલારામ એપાર્ટમેન્ટમાં દરોડોસુરત ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોપીપુરા મોમનાવાડ સ્થિત જલારામ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં રહેતો મોહમંદ જુબેર ગુલામરસુલ શાહ નામનો શખસ પ્રતિબંધિત નશીલા પદાર્થનો જથ્થો રાખી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પંચોની હાજરીમાં ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ઘરમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જેની તપાસ કરતા તે MD ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. 214 ગ્રામ ડ્રગ્સ અને વજન કાંટો કબજે કરાયોપોલીસે સ્થળ પરથી કુલ 214.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 6,44,190 રૂપિયા થાય છે. ડ્રગ્સના વેચાણ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ વજન કાંટા અને બે મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે કુલ 6,59,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. AC રિપેરિંગમાં કમાણી ઓછી પડતા ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યુંપોલીસ પૂછપરછમાં આરોપી મોહમદ જુબેરની પ્રોફાઈલ વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે. માત્ર 10 ધોરણ સુધી ભણેલો જુબેર અગાઉ એસી (AC) અને ફ્રિજ રિપેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તે ઘરે-ઘરે જઈને AC સર્વિસિંગનું કામ કરતો હતો. જોકે, આ મહેનતના કામમાં તેને પૂરતી આવક થતી નહોતી. વધુ રૂપિયા કમાવવાની લાલચમાં તેણે બે વર્ષ પહેલા રિપેરિંગનું કામ છોડી દીધું અને ડ્રગ્સના કાળા કારોબારમાં પગ મૂક્યો હતો. શાહપોરના 'એઝાઝ બાટલા'નું નામ ખુલ્યુંક્રાઈમ બ્રાંચની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે, તે આ ડ્રગ્સનો જથ્થો સુરતના શાહપોર વિસ્તારમાં રહેતા એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર નામના શખસ પાસેથી લાવ્યો હતો. આરોપી એઝાઝ હાલ ફરાર છે અને પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ કરી રહી છે. પોલીસને આશંકા છે કે, આ નેટવર્ક શહેરના અન્ય યુવાનો સુધી ફેલાયેલું હોઈ શકે છે. AC રિપેરિંગના બહાને નેટવર્ક વધારવાની શંકાતપાસ અધિકારીઓએ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે, શું આરોપી પોતાના જૂના વ્યવસાય એટલે કે AC રિપેરિંગના સંપર્કોનો ઉપયોગ ડ્રગ્સ સપ્લાય કરવા માટે કરતો હતો કે કેમ?

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:11 pm

6 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ:અદાણી CNGના ભાવમાં રુ. 1.50નો વધારો, મૂર્તિઓ વેચતા ફેરિયાને ITની નોટિસ, કડીમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પર હુમલો

સ્થાનિક સ્વરાજ માટે સેન્સ પ્રક્રિયા તેજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમદાવાદમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જૈવલ ભટ્ટે દાવેદારી નોંધાવી તો ખાડિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા. આ તરફ વડોદરામાં ‘જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં’ના બેનર લાગ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવનિત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા બગદાણા વિવાદનું કેન્દ્ર રહેલા નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા. તક મળ્યે ચૂંટણી લડવાની પણ વાત કરી..લોકસાહિત્યકાર માયા આહીરના દીકરા પર તેમણે હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અદાણી CNGના ભાવમાં રુ. 1.50નો વધારો ઇરાન-ઇઝરાયલ વોરને પગલે અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.50નો વધારો.સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60રુ જેટલો મોંઘો થયો છે. આ ભાવવધારાની સીધી અસર રિક્ષા ચાલકોને થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલીની સામે સરકારનો એક્શન પ્લાન સુરતમાં બનાવાશે હાઈ ટેક લેબ. જે નકલી દૂધ અને દવાઓમાં થયેલી ભેળસેળનો રિપોર્ટ ગણતરીના સમયમાં આપી દેશે,.ઘણા સમયથી દૂધ,દવા અને ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ભેળસેટને અટકાવવા સરકારે આ પગલું લીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચતા ફેરિયાને ITની નોટિસ ડાકોરના એક ફેરિયાને IT વિભાગે ₹19.84 કરોડની નોટિસ ફટકારી.. પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચી પેટીયું રળતો ફેરિયાએ કહ્યું કે આટલો આંકડો પણ જોયો નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઇકોર્ટે GPSCની ઝાટકણી કાઢી 1 માર્કે રહી જતા વિદ્યાર્થિનીનો કાયદાકીય જંગ... હાઈકોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગામની સીમમાં ઝાડ પર લટકી સજોડે આપઘાત કર્યો થરાદના મોરીલા ગામની સીમમાં ઝાડ પર યુવક યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા..બંને કોણ હતા અને કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમલગ્ન કરનાર યુવતી પર જીવલેણ હુમલો કડીના કાસ્વા ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પર તેના મોટા બાપૂએ તલવાર અને ધોકાના ફટકા મારી હુમલો કર્યો. ગંભીર હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે મોટાબાપૂ અને તેના સાગરીત સામે કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અકસ્માતની ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ સુરતમાં બે ભયાનક અકસ્માત સર્જાયા. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું જ્યારે પરવત પાટીયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું છે. આ બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભરઉનાળે ત્રીજી વખત નોંધાયો કમોસમી વરસાદ પાટણ-બનાસકાંઠામાં ભરઉનાળે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વેરાવળ 20 મિનિટમાં જળબંબાકાર.. હવામાન વિભાગે ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:02 pm

ભરૂચમાં મુસ્લિમ સમાજે UCC બિલનો વિરોધ કર્યો:હાથ પર કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ પ્રદર્શન

ભરૂચ જિલ્લામાં શુક્રવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચની અમન મસ્જિદ, લુકમાન પાર્ક સ્થિત મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમણે UCC બિલને કાળો કાયદો ગણાવી, હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગુજરાત સરકારને આ બિલ રદ કરવાની માંગ કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, આ વિરોધ લોકશાહી અધિકારના ભાગરૂપે કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:58 pm

'આજે બચી ગયો, બીજી વાર મળીશ તો જીવતો નહીં રે':ઝઘડાની દાઝ રાખી રત્નકલાકાર યુવક પર ત્રણ શખસોનો છરી-ફરશીથી હુમલો, બાઈકમાં પણ તોડફોડ કરી

ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં એક મહિના પહેલાના ઝઘડાની દાઝ રાખીને એક રત્નકલાકાર યુવકને ગૌશાળા પાસેના મેલડી માતાના મંદિરે બેઠેલો હતો ત્યારે ત્રણ યુવકોએ છરી અને ફરશીથી હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ યુવકની બાઈકમાં પણ તોડફોડ કરીને જીવનની ધમકી આપી હતી. ત્રણ શખસોએ છરી-ફરશીથી હુમલો કરી ઢીંકાપાટુનો માર માર્યોઘોઘારોડ વિસ્તારના લક્ષ્મીનગર, શેરી નંબર-૨માં રહેતા મનોજભાઈ દિલીપભાઈ ચૌહાણ (રત્નકલાકાર) એક મહિના પહેલા તેમના મિત્ર મુકેશભાઈની રિક્ષા સાથે અમીત ઉર્ફે ચોટી અશ્વિનભાઈ બારૈયાના બાઈકના અકસ્માતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાની દાઝ રાખીને ગત તા.1 એપ્રિલના રોજ બપોરના સમયે મનોજભાઈ ગૌશાળા પાછળ આવેલા મેલડી માતાના મંદિર પાસે બેઠા હતા. આ દરમિયાન અમીત ઉર્ફે ચોટી અશ્વિનભાઈ બારૈયા, મેહુલ અશ્વિનભાઈ બારૈયા અને ઉજ્વલ ઉર્ફે ચુચો (તમામ ભાવનગરના) એક્સેસ રોડ પર આવીને મનોજભાઈને અપશબ્દો કાઢ્યા. વિરોધ કરતા યુવકને ઉશ્કેરાઈને હુમલો કર્યો. અમીતે ફરશીથી, મેહુલે છરીથી ઘા કર્યા અને ઉજ્વલે ઢીંકાપાટુથી માર માર્યો. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યોહુમલો કર્યા બાદ આરોપીઓએ યુવકને ધમકી આપી કે “આજે તો તું બચી ગયો, બીજી વાર મળીશ તો જીવતો નહીં રહેવા દઈએ.” તેમણે મનોજભાઈની બાઈકમાં પણ તોડફોડ કરી હતી. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મનોજભાઈએ ઘોઘારોડ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS એક્ટની કલમ 115(2), 118(1), 117(2), 352, 351(3), 54, 324(4) તેમજ જીપી એક્ટની કલમ-135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:53 pm

ABVPએ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગેરરીતિઓ મુદ્દે રજૂઆત કરી:પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ભૂલો અને વિલંબનો આક્ષેપ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અંગે કુલપતિને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગોધરા ખાતે ABVP દ્વારા આ મુદ્દે ગંભીર આક્ષેપો કરાયા છે. ABVP દ્વારા કરાયેલી રજૂઆત મુજબ, 30 માર્ચના રોજ લેવાયેલી B.Com સેમેસ્ટર-4ની બિઝનેસ મેનેજમેન્ટ વિષયની પરીક્ષામાં સેમેસ્ટર-2ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત, M.Com સેમેસ્ટર-4ના Advance Cost Management Accountingના પેપરમાં 20 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમની બહારના પૂછાયા હોવાનો પણ આક્ષેપ છે. આ બંને કિસ્સાઓમાં વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નપત્રો મળ્યા હોવાની ફરિયાદ છે. B.Sc Microbiology કોર્સમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને શરૂઆતમાં ગુજરાતી ભાષામાં પ્રશ્નપત્ર આપવામાં આવે છે. ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર પર જ તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લીધે વિદ્યાર્થીઓને અંદાજે 15 મિનિટ મોડું પેપર મળતું હોવાની ફરિયાદ પણ ABVPએ કરી છે. ABVPએ જણાવ્યું કે આ ઘટનાઓ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી દર્શાવે છે અને હજારો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. આવેદનપત્રમાં અગાઉ પણ આ પ્રકારની ગેરરીતિઓ સામે આવી ચૂકી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે યુનિવર્સિટીમાં મોડરેટર સિસ્ટમમાં તાત્કાલિક સુધારા કરવામાં આવે અને આ ગેરરીતિઓ માટે જવાબદાર વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય. પ્રશ્નપત્રોની ક્રોસ-વેરિફિકેશન પ્રક્રિયાને પણ મજબૂત બનાવવાની માંગ કરાઈ છે. ABVPએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે ત્વરિત અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:44 pm

તાંદલજા મસ્જિદમાં UCC કાયદાનો મૌન વિરોધ:જુમ્માની નમાઝ દરમિયાન યુવાનો, બાળકો અને વૃદ્ધોએ કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ

ગુજરાત વિધાનસભામાં UCCનો કાયદો મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નમાઝ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીકેન્દ્ર સરકાર દ્વારા વિચારાધીન યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCના વિરોધમાં તાંદલજાની મસ્જિદ-એ-નુઝુલ ઈસ્લામ ખાતે મુસ્લિમ સમાજના નાગરિકોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. આજે જુમ્માની નમાજ હોવાથી મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મસ્જિદમાં પ્રવેશતા પહેલા તમામ મુસ્લિમ બિરાદરોએ પોતાના હાથ પર અથવા ખભા પર બ્લેક પટ્ટી બાંધી હતી અને આ રીતે પક્ષ કે સંગઠનથી ઉપર ઉઠીને એક સામૂહિક વિરોધ દર્શાવ્યો હતો. આ કાયદો ધાર્મિક અને અંગત કાયદા પર તરાપ સમાનવિરોધ કરી રહેલા નાગરિકોનું માનવું છે કે, UCC તેમના ધાર્મિક અને અંગત કાયદા પર તરાપ સમાન છે. આ કાયદાના કારણે ઇસ્લામ ધર્મના કેટલાક કાયદાઓ ઉપર તરાપ લાગી શકે છે એવું મુસ્લિમોનું માનવું છે ત્યારે શહેરમાં શાંતિમય રીતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મૌન રીતે સરકાર સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસઆ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. જેમાં કોઈપણ પ્રકારના સૂત્રોચ્ચાર વગર માત્ર કાળી પટ્ટી દ્વારા જ પોતાનો સંદેશ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો, બાળકો અને વૃદ્ધો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:44 pm

વાપીમાં કોંગ્રેસ નેતા વિનોદ પટેલે ભાજપમાંથી ટિકિટની દાવેદારી કરી:વાપી નગરપાલિકા વોર્ડ નં. 4માંથી ચૂંટણી લડવા દાવેદારી ફોર્મ ભર્યું

વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસના વર્ષો જૂના અગ્રણી વિનોદ પટેલે ગઈકાલે ભાજપમાંથી વોર્ડ નંબર 4 ની સામાન્ય બેઠક માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિનોદ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં રહીને વિસ્તારના વિકાસના કામો કરવામાં અનેક અડચણો આવતી હતી. આ કારણોસર, તેમણે ભાજપની વિકાસની રાજનીતિમાં જોડાઈને જનસેવા કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા સાથેની વાતચીતમાં વિનોદ પટેલે ભાજપમાં દાવેદારી પાછળના મુખ્ય કારણો જણાવ્યા હતા. તેમણે કહ્યું કે ડુંગરા ગામ અને વોર્ડ નંબર 4 ના રોડ, રસ્તા, પાણી, ગટર અને લાઈટ જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો ઉકેલવા માટે સત્તાધારી પક્ષ સાથે જોડાવું જરૂરી છે. વિપક્ષમાં હોવાથી બહુમતીના અભાવે ઘણા કામો અટકી પડતા હતા. વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરાઈને તેમણે આ નિર્ણય લીધો છે. વિનોદ પટેલે કહ્યું, મેં ભાજપ પાસે ટિકિટની માંગણી કરી છે અને જો પાર્ટી મને તક આપશે, તો હું વોર્ડના અટકેલા વિકાસના કામોને વેગ આપીશ. વોર્ડ નંબર 4 ને હંમેશાથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આવા સંજોગોમાં કોંગ્રેસના જ એક મજબૂત નેતા દ્વારા ભાજપમાં દાવેદારી નોંધાવતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવે જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ પક્ષપલટુ ઉમેદવાર પર ભરોસો મૂકે છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:37 pm

સુરેન્દ્રનગરમાં બોર્ડ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા:CCTV ફૂટેજથી ખુલાસો, વાલીઓની હાજરીમાં સુનાવણી યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન 36 વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા પકડાયા છે. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આ વિદ્યાર્થીઓ ચોરી કરતા જણાયા હતા, જેના પગલે વાલીઓની હાજરીમાં તેમની સુનાવણી કરવામાં આવી હતી. ગેરરીતિ કરતા જણાયેલા કુલ 36 વિદ્યાર્થીઓમાંથી 17 ધોરણ 10ના અને 19 ધોરણ 12 સામાન્ય પ્રવાહના છે. નોંધનીય છે કે, એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં સી.સી.ટી.વી. ફૂટેજ દ્વારા એક પણ કોપી કેસ નોંધાયો નથી. જિલ્લામાં 26 ફેબ્રુઆરી, 2026 થી 18 માર્ચ, 2026 દરમિયાન યોજાયેલી બોર્ડની પરીક્ષાના તમામ કેન્દ્રોના 100 ટકા સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના માળોદ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ કુલ 2700 ડીવીડીની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. આ તપાસ એસએસસી સુપરવાઇઝર રેખાબેન પરમાર અને એચએસસી સુપરવાઇઝર જયેશભાઈ પઢારિયાના સુપરવિઝન હેઠળ થઈ હતી. આ તપાસના આધારે, 1 એપ્રિલના રોજ જિલ્લા પરીક્ષા સમિતિ, સુરેન્દ્રનગર દ્વારા શંકાસ્પદ ગેરરીતિ કરતા જણાયેલા 36 વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, સ્થળ સંચાલકો અને ખંડ નિરીક્ષકોને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. આ સુનાવણીમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝા, અમીનભાઈ ઘેસાણી અને ભરતભાઈ પરમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા આ 36 વિદ્યાર્થીઓનો વિગતવાર અહેવાલ બોર્ડને મોકલી આપવામાં આવ્યો છે. હવે બોર્ડ આ વિદ્યાર્થીઓ સામે શું કાર્યવાહી કરવી તે અંગેનો અંતિમ નિર્ણય લેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:35 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અદાણીએ CNGમાં રૂ.1.50 વધારતા રિક્ષાનું ભાડું વધશે, ટાટા હેરિયરમાંથી શેર માર્કેટના વ્યવસાયીનો મૃતદેહ મળ્યો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:35 pm

પાન પાર્લર માલિક વિરુદ્ધ ફરિયાદ:જમીનના સોદામાં વચ્ચે રહેલા વ્યક્તિને 8 કરોડની લેતીદેતીમાં માર માર્યો, સગીરને સિગરેટ વેચતા પોલીસ ફરિયાદ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પોપ્યુલર ડોમેનમાં રહેતા પ્રતિકભાઈ કેજરીવાલને જમીનના સોદામાં વચેટિયા તરીકે કામ કરવા બદલ પૈસાની ઉઘરાણીના વિવાદમાં માર મારવામાં આવ્યો હતો. વચેટિયા પાસેથી જ પૈસાની ઉઘરાણી શરૂ કરીનવેમ્બર 2024માં કડી તાલુકાના અગોલ ગામ પાસે 13 વીઘા જમીનનો સોદો વિપુલભાઈ ગાંગાણી અને રોનક કોની વચ્ચે થયો હતો. આ સોદામાં પ્રતિકભાઈ કેજરીવાલ વચેટિયા તરીકે સામેલ હતા. ખરીદનાર પંકજભાઈ સોનીએ કુલ 8.39 કરોડ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ વિપુલ અને રોનક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતા તેઓ જેલમાં ગયા હતા. પંકજભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા પરંતુ, વિપુલ અને રોનક જેલમાં હોવાથી પૈસા પરત આપી શકાયા નહોતા. તેમણે વચેટિયા પ્રતિકભાઈ પાસેથી જ પૈસાની ઉઘરાણી શરૂ કરી. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી આ વિવાદમાં પંકજભાઈ સોની અને તેમના બે દીકરાઓ દક્ષિલ તથા વિશ્મય સોનીએ પ્રતિકભાઈના ઘરે જઈ સોસાયટીમાં બુલા-ચાલી કરીને ઝપાઝપી કરી અને તેમને લાફો માર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પ્રતિકભાઈએ મમલેશ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સગીરને સિગારેટ વેચવા બદલ પાન પાર્લર ધારક વિરુદ્ધ કેસઅમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં સગીરને સિગરેટ વેચવા બદલ પાન પાર્લરના માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી COTPA 2003 (સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ) હેઠળ કરવામાં આવી છે, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુ-સિગરેટ વેચવા પર પ્રતિબંધ છે. વી.એસ. હોસ્પિટલ પાસે નીલધારા કોમ્પ્લેક્સની નજીક આવેલા બ્રિજ પાન પાર્લરમાં સગીર વયના યુવકોને સિગરેટ અને તમાકુ વેચાતા હોવાની માહિતી મળતા પોલીસે એક 16 વર્ષના સગીરને સિગરેટ ખરીદવા મોકલ્યો હતો. દુકાનદાર જીતેન્દ્ર પ્રજાપતિએ સગીરને સિગરેટ વેચી દીધી હતી. પોલીસે તરત જ સ્થળ પર પહોંચીને દુકાનદાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આવી કાર્યવાહીથી પાન-સિગરેટના વેપારીઓને સગીરોને વેચાણ ન કરવા માટે સખત સંદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:33 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પરવત પાટીયામાં MP રોડવેઝની બસે ટક્કર મારતા આધેડનું માથું ફાટ્યું, LPGની અછતથી વેપારીઓએ રેસ્ટોરન્ટને તાડા માર્યા

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 pm

ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી:ન્યુ ચાંદખેડામાં ઢોંસાની દુકાનના કિચનમાં આગ લાગવાની ઘટના, માર્જિનની જગ્યામાં શેડમાં બનાવ બન્યો

અમદાવાદના ન્યુ ચાંદખેડા વિસ્તારમાં આવેલા કે.બી. રોયલ એલમ કોમ્પ્લેક્સમાં કાંચીપુરમ ઢોંસાની દુકાનના માલસામાન રાખવાની જગ્યામાં આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી હતી. રસોડામાં માલ-સામાન મૂક્યો હતો ત્યાં જ આગ ભભૂકીઢોંસાની દુકાનની બાજુમાં સોસાયટીની માર્જિન જગ્યામાં એક શેડ જેવું બનાવવામાં આવ્યું હતું. આ શેડમાં ઢોસા બનાવવા માટેનો માલસામાન (રસોડાનો સામાન) રાખવામાં આવ્યો હતો. આ જ જગ્યામાં અચાનક આગ લાગી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, આ જગ્યા રસોડાના કામ માટે વપરાતી હતી અને ત્યાં માલસામાન રાખવામાં આવતો હતો, જેના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત પગલાં લઈને આગને ફેલાતી અટકાવી અને તેને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી. આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ અને ફાયર અધિકારીઓ ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:19 pm

ઘોડાસરમાં હનુમાન જન્મોત્સવે સુન્દરકાંડ પાઠ યોજાયો:ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભક્તો ઉમટ્યા

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી સુન્દરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ હિરેનકુમારના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં અંદાજે 500થી વધુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ ભક્તિભાવપૂર્વક સુન્દરકાંડ પાઠમાં ભાગ લીધો હતો. સમગ્ર સ્થળ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આ આયોજનનો ઉદ્દેશ્ય સમાજમાં ધાર્મિક ભાવના, એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવવાનો હતો. ઓમકાર ગ્રુપના સભ્યો અને સેવાભાવી કાર્યકરોને કાર્યક્રમના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:17 pm