SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

ગાંધીનગર ખાતે સન્માન સમારોહનું આયોજન:UPSC માં 115મો રેન્ક મેળવી IAS બનનાર યુવાન સહિત 30 ઉમેદવારોનું સન્માન

અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગર સંચાલિત UPSC/GPSC તાલીમ કેન્દ્ર દ્વારા સેક્ટર-7 સ્થિત ચૌધરી કોલેજ કેમ્પસ ખાતે એક ભવ્ય અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંજણા ચૌધરી સમાજમાંથી સીધી ભરતી દ્વારા પ્રથમ IAS બનવાનું બહુમાન મેળવનાર વિપુલ કે. ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલા અન્ય 30 જેટલા તેજસ્વી ઉમેદવારોને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. સંઘર્ષથી સફળતાપાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના અમીરપુરા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિપુલ ચૌધરીએ પોતાની 5 વર્ષની લાંબી અને કઠિન મજલના અનુભવો વહેંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, વર્ષ 2024માં તેઓ IPS તરીકે પસંદ થયા હતા, પરંતુ તેમનું લક્ષ્ય મક્કમ હતું. સતત પરિશ્રમને પ્રતાપે વર્ષ 2025માં UPSC પરીક્ષામાં સમગ્ર ભારતમાં 115મો રેન્ક મેળવી તેઓ IAS બન્યા છે. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે, શૈક્ષણિક કે આર્થિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય, પણ જો આત્મવિશ્વાસ અડગ હોય તો લક્ષ્ય ચોક્કસ હાંસલ કરી શકાય છે. મહાનુભાવોની ઉપસ્થિતિઆ સમારોહમાં નિવૃત IAS અધિકારી સી. આર. ખરાસાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જે. એમ. ચૌધરી, ભામાશા હરિભાઈ વી. ચૌધરી, વિશ્વ આંજણાધામના પ્રમુખ એમ. કે. ચૌધરી અને તાલીમ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. એસ. આર. ચૌધરી સહિત કારોબારી સભ્યો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરીએ વાતાવરણને ઉત્સાહિત બનાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:58 pm

વડોદરામાં ટ્રિપલ અકસ્માતમાં પિતા-પુત્ર ઇજાગ્રસ્ત:નશામાં ધૂત રિક્ષાચાલકે રોંગ સાઈડ આવી કાર-બાઈક સાથે અકસ્માત કર્યો, બાઈકનો બુકડો બોલી ગયો

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મોડીરાત્રે રિક્ષા, કાર અને બાઇક વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈકના કુરચા બોલી ગયા હતા અને પિત-પુત્ર ઇજાગ્રસ્ત થતાં તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગેલ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતા જ કારેલીબાગ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે કારેલીબાગ પોલીસે રિક્ષામાં બેઠેલા બે શખસ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. રિક્ષાચલક રોંગ સાઈડ જતો હતો અને અકસ્માત કર્યો હતો. રિક્ષામાં સવાર બન્ને સામે ગુનો દાખલપ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, રિક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. કારેલીબાગ પોલીસે રિક્ષાચાલક યશ ચૌધરી અને રિક્ષામાં પાછળ બેઠેલા ભાવિન સીરવડકર સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો છે. અકસ્માતમાં મને અને મારા છોકરાને ઇજાઓ થઈઃ ફરિયાદીઇજાગ્રસ્ત ફરિયાદી મોહસીન અહેમદ મુખ્ત્યાર અહેમદ શેખે જણાવ્યું હતું કે, નાગરવાડા ચાર રસ્તા પાસે, 'મુલ્લા ચાની લારી'ની બરાબર સામે આ બનાવ બન્યો છે. હું મારા છોકરા સાથે બાઇક પર દૂધ લેવા જતો હતો. એક કાર ત્યાં ઉભી હતી અને હું બાજુમાંથી ઓવરટેક કરી રહ્યો હતો. મારી સ્પીડ લગભગ 20-30ની જ હતી, ત્યારે સામેથી એક રિક્ષા રોંગ સાઈડમાં આવી ગઈ અને કાર તથા રિક્ષાની વચ્ચે મારી બાઇક આવી ગઈ હતી. આ અકસ્માતમાં મને અને મારા છોકરાને ઇજાઓ થઈ છે. ‘મને મારી આખી ગાડી રિપેર કરી આપે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી 100 મીટરથી પણ ઓછા અંતરે જ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવેલું છે. મારી માંગણી છે કે, મને મારી આખી ગાડી રિપેર કરી આપે. મારા છોકરાને બહુ વાગ્યું નથી, પણ હાથમાં ઇજા થઈ હોવાથી અહીં ડ્રેસિંગ કરાવ્યું છે અને ટાંકા આવ્યા છે. અત્યારે એક્સ-રે પણ કરાવ્યો છે, જોઈએ હવે એક્સ-રે રિપોર્ટમાં શું આવે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:47 pm

ગેસ મોંઘો થતાં ગરીબ પરિવારો પરંપરાગત ચૂલા તરફ વળ્યાં:કેરોસીન ફરી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ઇંધણના ભાવમાં થયેલા વધારાની અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી છે. રાંધણ ગેસ મોંઘો બનતા ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ફરીથી પરંપરાગત ચૂલા તરફ વળવા મજબૂર બન્યા છે. આ પરિવારો દ્વારા ફરીથી કેરોસીન ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા રાંધણ ગેસના ભાવમાં વધારો કરાયો છે. એક સમયે પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના હેઠળ ગરીબ પરિવારોને સબસિડી સાથે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા, જેથી તેઓ સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરી શકે. જોકે, હાલના ઊંચા ભાવોને કારણે ઘણા પરિવારો માટે ગેસનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. ભરૂચ શહેરના ગેલાની કુવા વિસ્તારમાં ગરીબ પરિવારો હાલમાં લાકડાં વીણીને ચૂલા પર રસોઈ બનાવતા જોવા મળ્યા. સ્થાનિક રહેવાસી શારદાબેને જણાવ્યું કે, પહેલા તેઓ ચૂલા અને કેરોસીન બંનેનો ઉપયોગ કરતા હતા, જેનાથી ઘર ચલાવવું સરળ હતું. પરંતુ ગેસ સિલિન્ડરના વધેલા ભાવોને કારણે મુશ્કેલી વધી છે. લાકડાં પણ મોંઘા હોવાથી તેઓ જંગલ વિસ્તારમાંથી વીણી લાવી તેનો ઉપયોગ કરે છે અને ફરીથી કેરોસીન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. અન્ય એક સ્થાનિક રહેવાસી ભીખા વસાવાએ જણાવ્યું કે, તેમના ઘરે ગેસ સિલિન્ડર પૂરો થઈ ગયો છે અને સમયસર સિલિન્ડર મળતો પણ નથી. આવી પરિસ્થિતિમાં તેમને ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે. તેમણે સરકારને ગેસ સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ કરાવવા અથવા કેરોસીન પૂરું પાડવા વિનંતી કરી છે. આ મુદ્દે પાલિકાના કોંગ્રેસના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગેસના વધતા ભાવોના કારણે ગરીબ લોકો ફરીથી લાકડાંના ચૂલા તરફ વળી રહ્યા છે. અનેક ઘરોમાં ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયા છે અને લોકો પાસે વિકલ્પ તરીકે લાકડાં જ બાકી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:44 pm

જામનગર સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:બેંક ખાતા ભાડે આપી 3.86 કરોડની છેતરપિંડી, છ શખ્સો સામે ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ

જામનગર સાયબર સેલે બેંક ખાતા ભાડે આપી ઓનલાઈન છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે રૂ. 3.86 કરોડના ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડી આચરી હતી. કાલાવડ, રાજકોટ અને ભાવનગરના 6 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી ત્રણની ધરપકડ કરાઈ છે. જામનગર સાયબર ક્રાઈમ સેલના પી.આઈ. એ.આઈ. ધાસુરા અને તેમની ટીમે (કાળુભાઈ ડાડુભાઈ, ભગીરથસિંહ જાડેજા, રાજુભાઈ સહિત) આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. સોશિયલ મીડિયા દ્વારા લોકોના નાણાં પડાવી લેવાના પ્રકરણમાં આ ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં કાલાવડ તાલુકાના નાની માટલી ગામના કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા, રાજકોટના લાખાભાઈ રાણાભાઈ ઝાપડા અને રાજ મુકેશભાઈ ઝાપડા, તેમજ ભાવનગરના શૈલેષ મકવાણા, પ્રકાશ કાનમિયા અને આર્યન પટેલનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ જુદા જુદા બેંક ખાતા ભાડે આપીને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હતો. કુલ રૂ. 3,86,74,756 ના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા, જે રકમ અન્ય લોકોના બેંક ખાતામાંથી છેતરપિંડી કરીને જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રકમ સાયબર ફ્રોડ કરનાર મુખ્ય ગેંગ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. છ સભ્યો સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે કનૈયાલાલ સભાયા (કાલાવડ), લાખાભાઈ ઝાપડા (રાજકોટ) અને રાજ ઝાપડા (રાજકોટ) એમ ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. તેમને અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા, અદાલતે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ ત્રણેયની સઘન પૂછપરછ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:43 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP 12 હજાર બેઠકો પર ચૂંટણી લડશે:ઈસુદાન ગઢવીએ કહ્યું, બાપ-બેટાની રાજનીતિ ખતમ કરી સામાન્ય માણસને ટિકિટ આપીશું

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આપ આ વખતે ગુજરાતની તમામ 12,000 બેઠકો પર પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઉમેદવારોના સેન્સ લેવા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુની પ્રક્રિયા આ અંગે ઈસુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા રાજ્યભરમાં 7 ઝોન મુજબ કમિટીઓની રચના કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ગત 10 તારીખથી ઉમેદવારોના સેન્સ લેવા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં હજારો કાર્યકરો અને નાગરિકોએ ચૂંટણી લડવા માટે ઉત્સાહ દાખવ્યો છે. 'ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે'પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે, ઉમેદવારોનું એ, બી અને સી ગ્રેડમાં વિભાજન કરી ચર્ચાઓ કરવામાં આવશે. આગામી 16, 17 અને 18 તારીખ દરમિયાન જેતે ઝોનના સંભવિત ઉમેદવારોના નામો પર આખરી મંથન કરવામાં આવશે. ત્રણ દિવસના ગહન સ્ક્રીનિંગ બાદ પક્ષ દ્વારા ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. 'બાપ-બેટાની રાજનીતિ ખતમ કરી સામાન્ય માણસને ટિકિટ આપીશું'પરંપરાગત પક્ષો પર પ્રહાર કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતમાં માત્ર બાપ-બેટાની નીતિ ચાલતી હતી, જ્યાં મોટા નેતાઓના સંતાનોને જ તક મળતી હતી. પરંતુ આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે ઓપન ટુ ઓલ પોલિસી હેઠળ સામાન્ય માણસને લડવા માટે મોકો આપીશું. ગુજરાતમાં પહેલીવાર કોઈ પક્ષ પરિવારવાદથી અલગ હટીને જનતાના પ્રતિનિધિ નક્કી કરી રહ્યો છે. ઉમરેઠ વિધાનસભા બેઠકમાં પણ ઉમેદવાર ઉતારશે?ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડી છે તે મુદ્દે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, આ અંગે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ ચાલુ છે. આગામી સમયમાં કેન્દ્રીય નેતૃત્વ જે નિર્ણય લેશે તે મુજબ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ તરીકે જનતા આપ તરફ આશાભરી નજરે જોઈ રહી હોવાનો દાવો પ્રદેશ અધ્યક્ષે કર્યો હતો. આમ 12,000 બેઠકો પર ચૂંટણી લડવાના મક્કમ નિર્ધાર સાથે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:34 pm

LPGના અભાવે રેલવે કેન્ટીનને લાગ્યા તાળા:150થી વધુ કર્મચારીઓ મોંઘુ ભોજન જમવા માટે મજબૂર

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસરો હવે સ્થાનિક સ્તરે છેવાડાના માનવીના રસોડા સુધી પહોંચી ગઈ છે. દાહોદમાં વર્ષોથી કાર્યરત અને હજારો રેલવે કર્મચારીઓની જઠરાગ્નિ ઠારતી રેલવે કેન્ટીન પર આજે અચાનક તાળા મારી દેવામાં આવ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ કોઈ આંતરિક વિવાદ નહીં, પરંતુ આ દેશો વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે સર્જાયેલી LPG (કોમર્શિયલ ગેસ સિલિન્ડર)ની ભારે અછત છે. રેલવેના શ્રમિકો અને અધિકારીઓ જેમના માટે આ કેન્ટીન આશીર્વાદ સમાન હતી, તેઓ આજે ભોજન માટે પરેશાન થઈ રહ્યા છે. અંગ્રેજોના સમયનું કારખાનું અને વર્ષો જૂની ભોજનની પરંપરા દાહોદમાં અંગ્રેજ શાસનકાળથી સ્થાપિત રેલવેનું વિશાળ કારખાનું આવેલું છે, જ્યાં હજારો કર્મચારીઓ રાત-દિવસ કાર્યરત હોય છે. આ કર્મચારીઓ અને અધિકારીઓના જમવા માટે વર્ષોથી અહીં રેલવે કેન્ટીન ચલાવવામાં આવે છે. આ કેન્ટીન માત્ર એક ભોજનનું સ્થળ નથી, પણ શુદ્ધ, સાત્વિક અને હાઇજેનિક ભોજનનું પ્રતીક છે. અહીં નજીવી કિંમતમાં પૌષ્ટિક આહાર પીરસવાની પરંપરા દાયકાઓથી અવિરત ચાલી રહી હતી, જે આજે ગેસના અભાવે થંભી ગઈ છે. માત્ર 30 રૂપિયામાં મળતું હતું ભરપેટ ભાણું મોંઘવારીના આ યુગમાં જ્યાં સાદું લંચ પણ 100-150 રૂપિયામાં મળે છે, ત્યાં આ રેલવે કેન્ટીન કર્મચારીઓ માટે દેવદૂત સમાન હતી. અહીં માત્ર 30 રૂપિયાની નજીવી કિંમતમાં દાળ, ભાત, શાક, 5 રોટલી, પાપડ અને છાશ જેવું સંપૂર્ણ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવતું હતું. ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા શ્રમિક વર્ગના કર્મચારીઓ માટે આ કેન્ટીન જ એકમાત્ર આશરો હતી. આજે આ સુવિધા છીનવાઈ જતાં કર્મચારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની તીવ્ર અછત હાલમાં ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG, CNG અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પુરવઠા પર માઠી અસર પડી છે. અછતના એંધાણ વર્તાતા જ બજારમાં પેનિક જેવો માહોલ સર્જાયો છે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને મળતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે દાહોદની આ કેન્ટીન ચલાવવી અશક્ય બની ગઈ છે. સંચાલકોએ મજબૂરીમાં કેન્ટીન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:34 pm

NH-48 પર પદમલા નજીક વાહનોની 2 KM લાંબી કતાર:વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરાતા ટ્રાફિકજામ, ગરમીમાં વાહનચાલકો પરેશાન

અમદાવાદ વડોદરાને જોડતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પદમલા નજીક ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. અંદાજે બે કિમી લાંબી વાહનોની કતાર લાગી છે. અમદાવાદ તરફથી વડોદરા તરફ આવવાના સર્વિસ રોડ ઉપર વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બ્રિજ ઉપર કાર્પેટિંગ કામના કારણે વાહન-વ્યવહાર ડાઇવર્ટપદમલા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ ઉપર કાર્પેટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે સર્વિસ રોડ ઉપર ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટી દ્વારા વાસદથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે ધીમે ધીમે વડોદરા તરફ આગળ ધપી રહી છે. 2 કિમી કાપતા અડધો કલાકથી વધુ સમયટ્રાફિકજામની સ્થિતિના કારણે સર્વિસ રોડ ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. ભારે વાહનો પણ સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ થતા 2 કિમીની અંતર કાપતા અડધાથી પોણા કલાકનો સમય થઈ રહ્યો છે. નાના વાહનોએ પણ હાલાકી વેઠવી પડી રહી છે. જંકશનના કારણે વધુ ટ્રાફિકજામસર્વિસ રોડ ઉપર જંક્શન હોવાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ વધુ વણસી છે. એક તરફ રણોલી રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ છે, બીજી તરફ સાંકરદા તરફ જવાનો માર્ગ છે, જેથી ઉધોગોમાં જતા વાહનો પણ અહીંથી પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક વધ્યો છે. વાહનચાલકો ગરમીમાં શેકાયાસૂર્ય જેમ-જેમ ઉપર ચઢતો કે છે તેમ-તેમ ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીમાં ટ્રાફિકજામના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે. જો કે સાંજ સુધીમાં આ બ્રિજ ઉપરનું કાર્પેટિંગ કામ પૂર્ણ થઈ જવાની શક્યતા છે. જો કે બપોરે વાહનોની આવનજાવન ઘટે તો ટ્રાફિકમાંથી રાહત મળવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:26 pm

બોટાદ LCBએ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:9 આરોપી ઝડપાયા, ₹12.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ગુના ઉકેલાયા

બોટાદ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ ડામવા માટે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. પોલીસે ફેક્ટરીઓ અને અવાવરુ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 12.58 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગમાં કુલ 12 સભ્યો સામેલ હતા. તેઓ ખાસ કરીને બંધ ફેક્ટરીઓ, અવાવરુ જગ્યાઓ અને ખેતરોમાં રહેલી પાણીની મોટર જેવી કિંમતી વસ્તુઓને નિશાન બનાવતા હતા. ચોરી કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓ આ માલ ભંગારના વેપારીઓને વેચી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. 10થી વધુ ગુનાઓ ઉકેલાવાની શક્યતાબોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હાલની પૂછપરછમાં ચોરીના 3 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જોકે, આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં અન્ય 10 જેટલા વણઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પકડાયેલા તમામ 9 આરોપીઓ બોટાદ શહેરના જ રહેવાસી છે. ઝડપાયેલા આરોપીઓની યાદી ત્રણ શખસ હજુ ફરારઆ કેસમાં હજુ 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે, જેમાં ગેંગના સભ્યો ઈરફાન જીકરી આમદાણી અને માહિર ઉર્ફે બોર્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોરીનો મુદ્દામાલ ખરીદનાર રાજસ્થાનના વેપારી મુકેશચંદ્ર ગોપીલાલ ખટકીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:23 pm

ગેસની અછતથી મીની ભારતમાંથી હજારોની હિજરત:રોજગારીના ધામ સુરતમાં 'ચૂલા' ઠર્યા; ગેસની અછત અને મોંઘવારીએ શ્રમિકોને વતન પરત ફરવા મજબૂર, કહ્યું - ત્રણ દિવસથી ચૂલો સળગ્યો નથી

'સુરત જેનું નામ, તેનું દુનિયામાં કામ' – આ ઉક્તિ આજે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કદાચ ફિક્કી પડી રહી છે. જે સુરત શહેર લાખો પરિવારોનું પેટ ભરે છે, આજે ત્યાં જ શ્રમિકો ભૂખ્યા પેટે વતન પરત ફરવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી આંખમાં સપના લઈને આવેલા શ્રમિકો અત્યારે ગેસની ભીંસ અને અસહ્ય મોંઘવારીને કારણે પલાયન કરી રહ્યા છે. સપનાઓ પર મોંઘવારીનો માર હજારો કિલોમીટર દૂરથી શ્રમિકો સુરત આશા સાથે આવ્યા હતા કે અહીં રોજગારી મળશે અને પરિવારનું ગુજરાન સારી રીતે ચાલશે. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, રોજગારી પણ મળી, પરંતુ હાલની આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ અને ગેસના પુરવઠામાં આવેલા વિક્ષેપે આ શ્રમિકોની કમર તોડી નાખી છે. ગરીબોની થાળીમાંથી રોટલી છીનવાઈ શ્રમિકોની વેદના સાંભળતા હૈયું ભરાઈ આવે તેવી સ્થિતિ છે. જે ગેસ અગાઉ 100 પ્રતિ કિલો મળતો હતો, તેના ભાવ આજે ₹300 થી 400 સુધી પહોંચી ગયા છે. અનેક શ્રમિકોના ઘરમાં છેલ્લા ત્રણ દિવસથી ચૂલો સળગ્યો નથી. કેટલાક પરિવારો તો માત્ર પાણી પીને દિવસો વિતાવી રહ્યા છે. મોંઘા ભાવે ગેસ ખરીદવો શ્રમિકોના સીમિત વેતન માટે અશક્ય બની ગયું છે. ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો સુરતનો કરોડો રૂપિયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ આ શ્રમિકોના પરસેવા પર ટકેલો છે. જો આ રીતે જ મોટા પાયે હિજરત ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં કારખાનાઓમાં કારીગરોની ભારે અછત સર્જાશે. ઉત્પાદન ઘટશે અને તેની સીધી અસર સુરતના અર્થતંત્ર પર પડશે. શ્રમિકોનું કહેવું છે કે, અમે કમાવા આવ્યા હતા, પણ હવે અહીં જીવવું મુશ્કેલ છે. ગેસ વગર રાંધવું કઈ રીતે? ભૂખ્યા રહેવા કરતા વતન ભેગા થઈ જવું સારું. સુરતની શાન ગણાતા શ્રમિકોની આ હિજરત તંત્ર અને ઉદ્યોગપતિઓ માટે લાલબત્તી સમાન છે. જો વહેલી તકે ગેસના પુરવઠા અને ભાવ પર નિયંત્રણ નહીં આવે, તો ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાતું સુરત શ્રમિક વિહોણું બની જશે. સુરત જેવા 'સોનાની મુરત' ગણાતા શહેરમાંથી જ્યારે શ્રમિકોએ ભૂખ્યા પેટે હિજરત કરવી પડે, ત્યારે તે ઉદ્યોગ જગત અને સમાજ બંને માટે ચિંતાનો વિષય છે. નૂતનબેને જણાવ્યું હતું કે, અત્યારે ગેસની સમસ્યાના કારણે બાળકોને લઈને ઘરે જઈ રહી છું. અહીં ગેસ નથી મળી રહ્યો. આ જ તકલીફ છે, કામ-ધંધો બંધ થઈ ગયો છે અને ગેસ નથી મળી રહ્યો. જો જમવાનું જ નહીં મળે તો પછી કામ કેવી રીતે કરીશ? ગેસ ખૂબ મોંઘો થઈ ગયો છે અને મળતો પણ નથી. ત્રણ-ચાર દિવસથી ખૂબ જ તકલીફ છે. જમવાનું સુકું-ભીનું (જેમ તેમ) ખાઈ લઉં છું. બાજુમાં ભાભી રહે છે, તેમના ચૂલા પર બે-ત્રણ દિવસ બનાવીને ખાધું, બસ એટલું જ. ભાગલપુર જઈ રહી છું. ગામ જઈ રહી છું, બીજું શું કરીશ? જ્યારે બધું ફરી શરૂ થશે (પરિસ્થિતિ સુધરશે) ત્યારે પાછી આવીશ. હું સરકારને એટલું જ કહીશ કે ગેસ જલ્દી ચાલુ થઈ જાય તો સમસ્યા ખતમ થઈ જાય. ગેસ 300-400 (રૂપિયા) ની આસપાસ મળતો હતો, પણ હવે એ પણ નથી મળી રહ્યો. બધું બંધ છે. શોધવા છતાં પણ ગેસ મળતો નથી. ત્રણ છોકરાઓ છે. અમે પાંચ સભ્યો છીએ, તો પાંચેય જણનું જમવાનું કોણ બનાવી આપે? ફ્લેટમાં ચૂલો સળગાવવા પણ નથી દેતા. ગેસ નથી મળી રહ્યો એટલે જ જઈ રહી છું. મોંઘવારી વધી ગઈ છે. મોહમ્મદ કરીમ અંસારી (સિલાઈ કામદાર) એ જણાવ્યું હતું કે હું ઝારખંડના ગોડ્ડા જિલ્લાનો રહેવાસી છું. ગૅસની અછતના કારણે અમે અહીંથી ગામ જઈ રહ્યા છીએ. અમે અહીં કામ માટે આવ્યા હતા, પરંતુ કામ કરતાં-કરતાં બે-અઢી મહિના થયા અને આ ત્રીજો મહિનો શરૂ થયો એવામાં જ ગૅસની અછત સર્જાવા લાગી. અમને લાગ્યું કે બે-ચાર દિવસમાં ગૅસના ભાવ ઓછા થઈ જશે. અમારી પાસે જે એક-બે કિલો ગૅસ હતો (નાના સિલિન્ડરમાં) તે પણ ખતમ થઈ ગયો. જ્યારે ગૅસ ખતમ થઈ ગયો અને અમે દુકાને ગૅસ લેવા ગયા, તો ત્યાં ગૅસનો ભાવ 400 રૂપિયે કિલો જણાવવામાં આવ્યો. કોઈ 300, 400 કે 500 રૂપિયા કહેતું હતું. અમે મોટા સિલિન્ડર માટે તપાસ કરી તો તેનો ભાવ 5000 રૂપિયા બોલાયો. અમારી પાસે મોટું સિલિન્ડર નથી એટલે અમે તે ભરાવી શક્યા નહીં. આ કારણોસર અમને ગૅસ મળી રહ્યો નથી. બ્લેકમાં ગૅસ મળી રહ્યો હતો પણ દુકાનદારો કહે છે કે પોલીસ પકડી લે છે એટલે તેમણે દુકાનો બંધ કરી દીધી છે. અમારી પાસે જે ગૅસ હતો તે ખતમ થઈ ગયો છે અને હવે જમવાની કોઈ વ્યવસ્થા નથી. તેથી જ અમે ગામ જઈ રહ્યા છીએ. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ગૅસની સમસ્યા દૂર કરે, જેથી ખાવા-પીવાની તકલીફ ન પડે. જમવાની તકલીફ લગભગ એક અઠવાડિયાથી, જ્યારથી આ ગૅસની અછત શરૂ થઈ ત્યારથી. ગૅસ પૂરો થઈ ગયા પછી આસપાસના લોકો અમારી મુશ્કેલી જોઈને ક્યારેક ખાવાનું આપે છે, પણ બીજાના ભરોસે કેટલા દિવસ ચાલે? તેઓ એક-બે વાર મદદ કરી શકે, તેનાથી વધારે નહીં. એટલા માટે અમે ગામ જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને કોઈ કામ-ધંધો શોધીશું. કંપનીવાળા પણ કહે છે કે તમે કામ કરો કોઈ વાંધો નથી, પણ ગૅસની વ્યવસ્થા અમે નહીં કરી શકીએ. એટલે અમે કંપનીમાં પણ કહી દીધું કે અમે ગામ જઈ રહ્યા છીએ. અહીં બધી જ રાશનની વસ્તુઓ મળી રહે છે, પણ ગૅસ નથી મળતો. ગૅસની આ સમસ્યાના કારણે જ અમે ગામ પાછા જઈ રહ્યા છીએ. સુરજ પ્રસાદ (શ્રમિક) એ જણાવ્યું હતું કે અત્યારે તો કામ કરતો હતો અહીંયા જ સુરતમાં. અત્યારે ગેસની તકલીફ થઈ રહી છે એના કારણે અમે ગામ જઈ રહ્યા છીએ, હવે શું કરીએ? ગેસની તકલીફ થઈ રહી છે, મોંઘવારી છે, કાળાબજારી ચાલી રહી છે. આટલી તકલીફ તો કોરોનાના સમયમાં પણ નહોતી પડી જેટલી અત્યારે ગેસ માટે પડી રહી છે. અત્યારે તો જેનો જેવો ભાવ હોય એવું બોલે છે. કોઈ 400, કોઈ 500 તો કોઈ 300 કહે છે. જેની પાસે જેવો માલ છે એ રીતે ભાવ બોલે છે. અને એ પણ મળતો નથી. ખાવાનું તો અત્યારે જેમ તેમ ખાઈ જ લઈએ છીએ. પણ ગેસ નથી મળતો તો જાતે બનાવીને ખાવામાં તકલીફ પડે છે. એટલે જ અમે લોકો ગામ જઈ રહ્યા છીએ. અત્યારે અહીંયા એક અઠવાડિયાથી આ તકલીફ ચાલી રહી છે. ગામ જઈને હવે ગામમાં જ રહીશ, બીજું શું? અહીંયા તો ભાડાના મકાનમાં રહું છું, ત્યાં થોડું લાકડા પર જમવાનું બનાવવા દેશે? એ તો કહેશે કે રૂમ ખાલી કરો. ગામની વાત જ અલગ છે, પોતાનું ઘર હોય તો ગમે ત્યાં એડજસ્ટ કરી લઈએ. બહાર એડજસ્ટ થોડું થાય? હવે ગેસ મળતો થશે અને મોંઘવારી ઓછી થશે ત્યારે જ આવીશ. સરકારને એ જ કહીશ કે ગેસના ભાવ ઘટાડે અને આનો જલ્દીમાં જલ્દી ઉપાય કરે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:17 pm

નર્સ ભરતી મામલે વિવાદ ગરમાયો:ખોટો ઓર્ડર વાઇરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કર્યાનો મંત્રી પ્રફુલ પાનસેરિયાનો દાવો

ગુજરાતમાં નર્સોની ભરતીને લઈને થયેલા આક્ષેપો પર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષમાં રાજ્ય સરકારે કુલ 1903 નર્સોની ભરતી સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારે કરી છે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત હોવાથી મેરિટ લીસ્ટ દરેક માટે જાહેર અને જોવા માટે ઉપલબ્ધ હોય છે. લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસઃ પાનસેરિયામંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ‘શિવાની’ નામની એક વ્યક્તિએ ખોટો ઓર્ડર બનાવી તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો, જેના કારણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. આ મામલે સરકારે ગંભીર નોંધ લઈને 14 માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવશે અને જે કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરશે તેને છોડવામાં આવશે નહીં. મંત્રીએ લોકોને અપીલ કરી કે, આવા લેભાગુ તત્વોથી સાવચેત રહે અને સાચી માહિતી સિવાય કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:07 pm

હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ:બજાર-જંત્રી ભાવની વિસંગતતા દૂર કરવાની માગ સાથે સચિવાલયે ધરણા; રાજ્યભરના ખેડૂતોને એકઠા કરી આંદોલનની ચીમકી

રાજ્યમાં હાઈ ટેન્શન વીજ લાઈન માટે જમીનમાંથી પસાર થતી લાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. બજાર ભાવ અને જંત્રી કિંમત વચ્ચે ભારે વિસંગતતા હોવાના આક્ષેપ સાથે વિવિધ જિલ્લાઓના ખેડૂત આગેવાનો ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા. ખેડૂતોનું કહેવું છે કે, હાઈ ટેન્શન વીજ લાઈન માટે જમીન ઉપયોગમાં લેવાય ત્યારે મળતું વળતર એકસરખું નથી અને તેમાં અસમાનતા જોવા મળે છે. વળતરની પ્રક્રિયામાં અસમાનતાખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, અગાઉ સરકાર તરફથી આ મુદ્દે પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો સચિવાલય પહોંચીને અધિકારીઓ સમક્ષ પોતાની માગ રજૂ કરી હતી અને હાઈ ટેન્શન વીજ લાઈન માટે વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં સમાનતા લાવવાની માગ કરી હતી. પરિપત્ર બહાર પાડી વળતર આપવા માગખેડૂતોનું કહેવું છે કે, જમીનની બજાર કિંમત અને જંત્રી કિંમત વચ્ચે મોટા તફાવતને કારણે તેમને યોગ્ય વળતર મળતું નથી. આ મુદ્દે અગાઉ કિસાન સંઘ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું હતું. હવે સરકાર દ્વારા આપેલા આશ્વાસનને અમલમાં મૂકી તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. માગ પૂરી નહિ થાય તો રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી ઉગ્ર આંદોલન કરીશુંઃ વિરુભાઈ ખેડૂત આગેવાન વિરુભાઈ આહિરે જણાવ્યું કે, અમારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે, મહાકાય કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્સન લાઈન નાખવામાં આવી છે, તેનું પૂરતુ વળતર મળે. બીજુ જે વાણિજ્ય હેતુના ઓર્ડર માટે જે કિસાન સંઘને ખાતરી આપી હતી તે હજુ સુધી પૂરી થઈ નથી. ત્રણ મહિના થવા આવ્યાં છે એટલે આજે અમે મુખ્યમંત્રી અને મંત્રી સાહેબને રજૂઆત કરવા આવ્યાં છીએ. અમે માગણી કરીએ છીએ કે અમારો વાણિજ્ય હેતુનો દર અને જંત્રી દર છે તે આપો, નહિ તો આખા રાજ્યના ખેડૂતોને ભેગા કરીને ઉગ્ર આંદોલન કરીશું અને અમે અમારો હક્ક લઈને જ ઝંપીશું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:01 pm

પાટણમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1નું આઠમું અધિવેશન સંપન્ન:'કોહિનૂર'માં 400થી વધુ ડેલિગેટોની વિશેષ ઉપસ્થિતિ રહી

ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1ના આઠમા વાર્ષિક અધિવેશન 'કોહિનૂર'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લાયન્સ પરિવારના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ નીકુલ ચુનાવાલાએ જણાવ્યું હતું કે, આ વાર્ષિક અધિવેશનનું વિધિવત ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર તેમજ કે.સી. પટેલ જેવા અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અધિવેશન દરમિયાન લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવંતી કેવી રીતે બનાવી શકાય અને સમાજના છેવાડાના માનવી સુધી સેવાઓ કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે ઉપસ્થિત વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કોન્ફરન્સના ચેરમેન ગૌરવભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર આયોજન અત્યંત સફળ રહ્યું હતું. આ અધિવેશનની મુખ્ય વિશેષતા અંગે માહિતી આપતા જણાવાયું હતું કે, રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 400થી વધુ ડેલિગેટોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે જ અધિવેશનમાં નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જે લાયન્સ પરિવાર માટે એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થયું છે. સમગ્ર કાર્યક્રમમાં લાયન્સ પરિવારના વિવિધ શહેરો ના પ્રમુખો અને ડિસ્ટ્રિક્ટ ઓફિસરોએ હાજર રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:59 pm

ભરૂચમાં 8 ફૂટ ઊંડા ખાડામાંથી શ્વાનનું રેસ્ક્યૂ:પાલિકા અને જીવદયા પ્રેમીઓએ સફળતાપૂર્વક બચાવ્યું

ભરૂચના નારાયણનગર-2 વિસ્તારમાં એક શ્વાન સાતથી આઠ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. વિસ્તારના રહેવાસી મેહુલ ભાવસારે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કરીને મદદ માંગી હતી. માહિતી મળતા જ હિરેન શાહે તાત્કાલિક ભરૂચ પાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. ફાયર વિભાગની ટીમ હિરેન શાહ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ખાડામાં પડેલા શ્વાનને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. લાંબા પ્રયાસો બાદ શ્વાનને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. શ્વાનને મુક્ત કરાતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. આ સફળ કામગીરી બદલ ફાયર વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમના પ્રયાસોની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:58 pm

'તમે કોલેજમાંથી બહાર નીકળો એટલે તમારા ટાંટિયા તોડી નાખીશું':સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી કોલેજમાં ભાજપ-આપના નેતાઓની ધમકી, જુ.ક્લાર્કની ભરતીમાં સેટિંગ થતું હોવાનો આક્ષેપ

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા દરમિયાન વિવાદ સર્જાયો છે. ભાજપના નગરપાલિકા સદસ્ય, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેમના પુત્રએ કોલેજમાં જઇને તમે પૈસા લઇને પાસ કરો છો કહીને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતા ત્રણેય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના સમયે બોલાચાલી કરીસાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોલેજના ટ્રસ્ટી ચંદ્રિકાબેન ગિરીશભાઈ કામદારે નોંધાવેલી ફરિયાદ મુજબ સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે કોલેજ વહીવટ મંડળ અને ટ્રસ્ટીઓ કાર્યરત હતા. આ દરમિયાન પરીક્ષા શરૂ થવાના સમયે કોલેજની લોબીમાં આરોપી ધર્મેન્દ્ર મહેતા (ભાજપના નગરપાલિકાના સદસ્ય), જગદીશ ઠાકોર (આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ) અને જગદીશ ઠાકોરનો પુત્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. કોલેજે પરીક્ષાનું સેટિંગ કરી લીધું હોવાના આક્ષેપચંદ્રિકાબેન કામદારે ફરિયાદમાં જણાવ્યું છે કે, પરીક્ષા શરૂ થવાની તૈયારી હતી ત્યારે આરોપીઓ કોલેજમાં આવીને કોલેજ મેનેજમેન્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જાહેરમાં બૂમો પાડીને કહ્યું કે, ‘તમે આ પરીક્ષામાં મોટું સેટિંગ કરી લીધું છે, તમે પૈસા ખાધા છે અને કઈ દીકરીને પાસ કરવી તે અગાઉથી નક્કી કરી લીધું છે’, કહીને ધાક ધમકી આપતા હતા. આ દરમિયાન અમે સિક્યુરિટી મારફતે તેમને બહાર મોકલ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ઉશ્કેર્યાજોકે, પરીક્ષા પૂર્ણ થયા બાદ આ ત્રણેય આરોપીઓ ફરીથી કોલેજની લોબીમાં આવ્યા હતા અને ત્યાં હાજર પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘આ ખોટી પરીક્ષા છે, પસંદગી પહેલેથી જ થઈ ગઈ છે અને તેમની મહેનત પાણીમાં જશે, આ પરીક્ષા માત્ર એક નાટક છે.’ શૈક્ષણિક વાતાવરણમાં આ પ્રકારના નકારાત્મક પ્રચારથી પરીક્ષાર્થીઓમાં પણ ગભરાટ અને અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. કોલેજમાં જઇને ટાંટિયા તોડી નાખવાની ધમકીઆરોપીઓ વિદ્યાર્થીઓને ઉશ્કેરતા હોવાથી ટ્રસ્ટીઓ અને અન્ય લોકોએ આ નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, ‘જો તમારી પાસે કોઈ નક્કર પુરાવા હોય અથવા રજૂઆત હોય, તો અમારા મંડળને લેખિતમાં આપો, અમે તેની તપાસ કરીશું'. આ દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ટ્રસ્ટીઓને ધમકાવતા કહ્યું કે, ‘તમે અમને ઓળખતા નથી, બહાર નીકળો એટલે તમારા ટાંટિયા ભાંગી નાંખીશું અને તમને જોઈ લઈશું.’ આરોપીઓ ભાજપ-આપના નેતાનોંધનીય છે કે આરોપી ધર્મેન્દ્રભાઈ મહેતા સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના સદસ્ય છે, જ્યારે જગદીશ ઠાકોર આમ આદમી પાર્ટીના સાવરકુંડલા શહેર પ્રમુખ છે. આ ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરીઆ મામલે સાવરકુંડલા ઇન્ચાર્જ પી.આઇ. ચૌધરીએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર મહેતા,જગદીશ ઠાકોર અને તેના પુત્ર સહિત ત્રણ લોકો સામે કોલેજના ટ્રસ્ટીએ ફરિયાદ આપી છે. પોલીસે આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:48 pm

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ શરૂ:દર્શનાર્થીઓ માટે મંદિર સાંજે 4 વાગ્યે ખુલશે, 8 કલાક દર્શન બંધ રહેશે

સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને 'નાના અંબાજી' તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરમાં આગામી ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે સોમવારે સવારે 8:00 વાગ્યાથી ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રક્ષાલન વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ધાર્મિક વિધિને કારણે શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે વિગતો આપતા જણાવ્યું હતું કે, 19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પવિત્ર અવસર પહેલાં પરંપરાગત રીતે ગર્ભગૃહની શુદ્ધિ માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શરૂ કરાયેલી આ પ્રક્રિયા અંદાજે 8 કલાક સુધી ચાલશે. વિધિ પૂર્ણ થયા બાદ સાંજે 4:00 વાગ્યાથી મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખોલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:30 pm

વડોદરામાં વિશ્વકર્મા સમાજે હિન્દુ સંમેલન યોજ્યું:સંતો-આગેવાનોએ સનાતન સંસ્કૃતિ અને સામાજિક એકતાનું આહ્વાન કર્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વડોદરાના ન્યુ.વી.આઈ.પી. રોડ, ખોડિયાર નગર સ્થિત માય શૈનન સ્કૂલ ખાતે વિશ્વકર્મા સમાજ વડોદરા દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રભક્તિ, સામાજિક એકતા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે હિન્દુ ગુરુકુળ, લકુલીશધામ કાયાવરોહણના પરમ પૂજ્ય સ્વામી પ્રીતમમુનિજીએ આશીર્વચન પાઠવ્યા હતા. કાશી, વારાણસીના પરમ પૂજ્ય સ્વામી શ્રી રાજેશ્વરાચાર્યજીએ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના સિદ્ધાંતો અને હિન્દુ સમાજમાં એકતા જાળવવાના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા વિભાગના સંપર્ક વડા દયારામજી પાલે મુખ્ય વક્તા તરીકે સમાજમાં હિન્દુ સંસ્કૃતિ, કર્તવ્ય અને સંસ્કારો જાળવવા માટે સૌને પ્રેરિત કર્યા હતા. સંમેલનમાં બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી સજ્જનસિંહજી ચૌહાણ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સમાજમાં એકતા, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આજવા રોડના રાજપુત ક્ષત્રિય તલવારબાજી ગ્રુપ દ્વારા તલવારબાજીનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. બાળકો અને યુવાનોએ પરંપરાગત તલવારબાજીના વિવિધ કૌશલ્યો દર્શાવ્યા હતા. આ પ્રદર્શનનો હેતુ યુવાનોને આત્મરક્ષણ અને આત્મવિશ્વાસ વધારવા માટે આવી કળાઓનું મહત્ત્વ સમજાવવાનો હતો. આ ગ્રુપના આગેવાનોમાં સંતોષસિંહ પરમાર, મહેન્દ્રસિંહ રાજ, જસપાલસિંહ પુવાર અને નરેન્દ્રસિંહ રાજનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ શ્રોતાઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:09 pm

હોર્મુઝ સ્ટ્રેટથી ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપશે ઈરાન? જયશંકરે આપ્યો જવાબ

Iran America War: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતની મોટી રાજદ્વારી જીત: જયશંકરની મધ્યસ્થીથી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજો સુરક્ષિત પસાર થયા છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે, ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે ભારતીય જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવા માટે યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી છે.

ગુજરાત સમાચાર 16 Mar 2026 12:06 pm

બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી પાડી:પાલનપુર તાલુકામાંથી ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી પકડાયા

બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક ઓટો રિક્ષામાંથી કુલ ₹1,99,732/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. LCB સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, GJ.08.AX.5710 નંબરની ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો માલણથી કુંપર ગામ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે માલણથી કુંપર જતા રોડ પર નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ઓટો રિક્ષાને રોકવામાં આવી હતી. તેની તપાસ કરતાં તેમાંથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 211 બોટલ અને બિયર મળી આવ્યા હતા, જેની કિંમત ₹84,732/- છે. પોલીસે દારૂ અને ઓટો રિક્ષા સહિત કુલ ₹1,99,732/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ કેસમાં અજયજી પ્રતાપજી ઠાકોર (ઉં.વ. 19, રહે. રંગપુર(ભચડીયા), તા. દાંતા) અને જગદીશભાઈ વાઘાભાઈ રબારી (ઉં.વ. 27, રહે. અડેરણ, તા. દાંતા) ની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરાવનાર મંડીયા ઠેકાવાળો નામનો એક અજાણ્યો ઈસમ પણ આ ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું છે. આ તમામ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાના આધારે દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આ કાર્યવાહી કરાઈ હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પાર પાડવામાં આવી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:04 pm

ખેડૂતને ચાર શખ્સો મારમારી લૂંટ ચલાવી:ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો, લાખોની લૂંટ ચલાવી શખ્સો ફરાર

ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે ખેતીના હિસાબ બાબતે થયેલી તકરારમાં એક હીરાના વેપારીને રસ્તામાં આંતરી માર મારી અને અંદાજે રૂપિયા 3 લાખની મત્તાની લૂંટ ચલાવી ચાર શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા ખેડૂતએ વરતેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​મૂળ નાગધણીબાના વતની અને હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા અશોક દુલાભાઈ ઈટાલીયા ઉં.વ. 52, જેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમની નાગધણીબા ગામે આવેલી વાડીમાં સંજય ગોરધનભાઈ પરમાર નામના શખ્સે ભાગીદારીમાં ઘઉંનું વાવેતર કર્યું હતું, ઘઉંના હિસાબના પૈસા બાબતે અશોક અને સંજય વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ બાબતે પોલીસ ફરિયાદ કરવા જઈ રહેલા અશોકની કાર GJ-04-EP-8130 ને ભંડારિયા માર્ગે ધોરીની વેણ પાસે ચાર શખ્સોએ આંતરી હતી, જેમાં ભડી ગામના ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી અને એક અજાણ્યો ​હુમલાખોરોએ અશોકનો કાઢલો પકડી, તેમને લાફા મારી અને તેમનું મોઢું સ્ટેરીંગ સાથે દબાવી દીધું હતું આ દરમિયાન આરોપીઓએ ​ગળામાંથી અઢી તોલાની સોનાની રુદ્રાક્ષની માળા કિંમત રૂ.2,00,000, ​હાથની આંગળીઓમાંથી બે સોનાની વીંટી કિંમત રૂ.50,000 તથા ​ડાબા હાથમાં પહેરેલી સેકોન્ડા કંપનીની ઘડિયાળ કિંમત રૂ.50,000 ના મુદ્દામાલ કાઢી લીધી હતી, જ્યારે ​હુમલાખોરોએ ખેડૂતને ધમકી આપતા કહ્યું હતું કે, આ વાડી બાજુ આવવાનું બંધ કરી દેજે, તારી વાડી સસ્તામાં લઈ લેવાની છે તેમજ જો ફરીથી હિસાબ બાબતે માથાકૂટ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, હુમલાના કારણે છાતીના ભાગે ગંભીર ઈજા થતા અશોકને તાત્કાલિક 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, હાલ તેઓ વોર્ડ નં. 1માં સારવાર હેઠળ છે, ​અશોકએ ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી, એક અજાણ્યો ઈસમ તથા ભાગીયો સંજય પરમાર સહિત પાંચએ શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 309(6), 115(2), 352, 351(3) તથા 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી, પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:55 am

વડોદરામાં MS યુનિવર્સિટીના કેમ્પસમાં મગર ઘૂસી આવ્યો:મગરને જોતા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી , ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું

વડોદરાની MS યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક મગર દેખાતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટીની ભૂખી કાંસ પાસે અંદાજે 9 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. મગરને જોઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. વન વિભાગની ટીમે મગનને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો વિદ્યાર્થીઓ સ્ટાફમાં દોડધામ મચીવડોદરા શહેરની MS યુનિવર્સિટીના કેમ્પસમાં મગર ઘૂસી આવ્યો હોવાના કોલને પગલે તુરંત જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને પાંજરામાં પૂરવામાં સફળતા મેળવી હતી. મગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ તેને વન વિભાગમાં લઈ જવાયો હતો. વન વિભાગની તકેદારી હેઠળ મગરને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવશે. આ ઘટના બાદ યુનિવર્સિટી વહીવટી તંત્રે વિદ્યાર્થીઓને સાવધાની રાખવા અપીલ કરી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે વસેલી આ યુનિવર્સિટીમાં અગાઉ પણ મગરોની હાજરીની ઘટનાઓ બની ચૂકી છે. ‘અમે વનવિભાગની ટીમ સાથે જોડાઈને 9 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કર્યું’જીવદયા પ્રેમી યશ તડવીએ જણાવ્યું હતું કે, વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલી વન કેડી પાસે મગર આવી ગયો હોવાનો કોલ મળ્યો હતો આવ્યો હતો. આ મગરની લંબાઈ અંદાજે 9 ફૂટ જેટલી હતી. મગરની હાજરીની જાણ થતાં જ લોકોમાં થોડો ડર હતો, તેથી અમે તાત્કાલિક અમારી ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આ કામગીરીમાં અમારી સાથે વન વિભાગના કર્મચારી શૈલેષભાઈ પણ જોડાયા હતા. અમે સૌએ સાથે મળીને ખૂબ જ સાવધાનીપૂર્વક આ વિશાળ મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું છે. હાલમાં મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો છે અને હવે તેને વન વિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો છે. ત્યારબાદ નિયમ મુજબ તેને કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:54 am

સુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ:એક જ સ્થળે પ્રશ્નોના ઉકેલ માટે 'અરજી મેળો'

સુરેન્દ્રનગર પોલીસે એક નવતર પ્રયોગ રૂપે અરજી મેળાનું આયોજન કર્યું હતું. આ મેળામાં અરજદારોને એક જ સ્થળે બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને પોલીસ વિભાગને લગતી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હતો. મોટી સંખ્યામાં અરજદારોએ હાજર રહી પોતાની અરજીઓ આપી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. નિલિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની નિમણૂક બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા આ પહેલ કરવામાં આવી છે. અરજદારોને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તે માટે એક જ સ્થળે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રજૂઆતો સાંભળી તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો. આ અરજી મેળામાં વ્યાજખોરોનો ત્રાસ, ટ્રાફિક પોલીસની કનડગત અને પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન થઈ હોવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. ચુડા, વઢવાણ, બી. ડિવિઝન, એ. ડિવિઝન અને જોરાવરનગર પોલીસ મથક ખાતે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા. સામાન્ય લોકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો, જેનાથી પારદર્શિતા વધી છે. હાજર રહેલા પોલીસ અધિકારીઓએ અરજીઓ સ્વીકારી હતી અને તાત્કાલિક સંબંધિત પોલીસકર્મીઓ કે બીટ જમાદારોને સૂચનો આપ્યા હતા. જરૂર જણાયે અરજીના આધારે ફરિયાદ નોંધવા પણ સૂચનાઓ અપાઈ હતી. અધિકારીઓની હાજરીમાં અરજીઓનો નિકાલ થતા અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી, કારણ કે અગાઉ ઘણીવાર અરજીઓ પર કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:54 am

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો:પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAના હોદ્દેઆરો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અરજદારની અરજી મંજૂર રાખી હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને BCAના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા છે. ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઇકોર્ટે રદ્દ કર્યો છે. મૂળ ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, હવે પરિણામ જાહેર કરવામાં ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે અને વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારાઈ છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલમાં જશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:50 am

પોલીસ જાપ્તામાં 5 આરોપીને પરીક્ષા કેન્દ્ર લઈ જવાયા:રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કેસમાં આરોપીઓ આજે MBBS ફાઇનલ યરની પરીક્ષા આપશે

રાજકોટ સ્થિત AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટર રતનકુમાર મેઘવાલના આપઘાત પ્રકરણમાં ધરપકડ કરાયેલા 5 આરોપી વિદ્યાર્થીઓને આજે(16 માર્ચ) પોલીસ જાપ્તા હેઠળ પરીક્ષા આપવા લઈ જવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ MBBS ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ છે અને તેઓએ જેલમાંથી પરીક્ષા આપવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટ દ્વારા રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવતા, તમામ 5 આરોપીઓને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શનિવારના રોજ પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરીની મિનિટોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને રવિવારે કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. 14 માર્ચ, 2026એ રાજસ્થાનના ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કર્યો હતોઆ ચકચારી કેસની વિગત મુજબ, રાજસ્થાનના જેસલમેરનો વતની રતનકુમાર 13 માર્ચે રાજસ્થાનથી રાજકોટ આવ્યો હતો અને 14 માર્ચની વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પૂર્વે યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર 18 પેજની સુસાઈડ નોટ મૂકી હતી, જેમાં તેની સાથે જ અભ્યાસ કરતા સહપાઠીઓ દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સુસાઈડ નોટમાં એક સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે, જે મૃતક અને આરોપી બંનેની મિત્ર હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાને પોતાની વ્યથામાં સાથી વિદ્યાર્થીઓના ત્રાસને જ અંતિમ પગલું ભરવાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. મૃતકે અગાઉ પણ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતોપોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે રતનકુમારે અગાઉ પણ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 28 જાન્યુઆરી 2026ના રોજ પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન નીચે પડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે તેને બચાવી લેવાયો હતો. ત્યારબાદ તેનું આ અંગે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. તે સમયે તે થોડો સમય પોતાના વતન જેસલમેર પણ રહ્યો હતો, જ્યાં પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે. જોકે, ત્રીજી વખતના પ્રયાસમાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને રેગિંગ જેવા ગંભીર મુદ્દાઓ પર ફરી સવાલો ઉભા કર્યા છે. મૃતકને કઈ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપતા હતા તે દિશામાં તપાસરાજકોટ SC-ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું કે, સુસાઈડ નોટના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, યુવરાજ ચૌધરી (ત્રણેય રાજસ્થાન), નિર્વિઘ્નમ યાદવ (હરિયાણા) અને આયુષ યાદવ (ભરૂચ) નો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓ મૃતકને કઈ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપતા હતા. કેસની ગંભીરતાને જોતા પોલીસ પીડિત પરિવારને ન્યાય મળી શકે તે માટે તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે. ગુજરાતની એકમાત્ર રાજકોટ સ્થિત નામાંકિત AIIMS હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો હતો. એમબીબીએસના ફાઈનલ યરના વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલે તેના સહપાઠી પાંચ વિદ્યાર્થીના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ જીવન ટૂંકાવી લીધાનું સુસાઈડ નોટમાં સામે આવ્યું હતું. આ મામલે મૃતકના પિતા મોહનલાલ મેઘવાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108, 3(5) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોતે માનસિક અસ્વસ્થ હોય મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. સુસાઇડ નોટમાં તેમની સાથે જ અભ્યાસ કરતી સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી સુસાઈડનોટમાં લખ્યું કે, હું અને નીલમ(નામ બદલ્યું છે) પરિસ્થિતિનો શિકાર બન્યા, હું તેની માફી માગું છું. પ્રણવે રતનકુમાર-નીલમના ટેન્શનનો ફાયદો ઉઠાવી ગેમ રમી હતી. આરોપીઓના નામ પ્રણવ પાલીવાલ (રાજસ્થાન) અસ્મિત શર્મા (રાજસ્થાન) યુવરાજ ચૌધરી (રાજસ્થાન) નિર્વિઘ્નમ યાદવ (હરિયાણા) આયુષ યાદવ (ભરૂચ) શું છે સમગ્ર ઘટના?રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફલસુંડ ગામના રહેવાસી અને ઘડિયાળ રિપેરિંગનો વ્યવસાય કરતા મોહનલાલ મેઘવાલનો 26 વર્ષીય દીકરો રતનકુમાર મેઘવાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો અને હાલમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો હતો. 14 માર્ચ, 2026ના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા નજીક રેલવે ટ્રેક પર રતનકુમારે ટ્રેન નીચે આવી આપઘાત કરી લીધો હતો. પોલીસને મળેલી બેગમાંથી 17 પેજની સુસાઇડ નોટ મળીઘટનાસ્થળેથી રેલવે પોલીસને રતનકુમારની બેગ મળી આવી હતી, જેમાં મોબાઇલ ફોન, ટેબલેટ અને નોટબુક મળી આવી હતી. નોટબુકમાં 17 પેજની સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં હિન્દી અને અંગ્રેજીમાં લખાણ લખેલું હતું. સુસાઈડ નોટમાં રતનકુમારે લખ્યું છે કે, ‘નિલમ’ સાથે સંબંધ હોવાની શંકાના આધારે સાથે અભ્યાસ કરતા કેટલાક લોકોએ જાન્યુઆરી, 2026થી તેની સાથે મારપીટ અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. નોટમાં 27 જાન્યુઆરી, 2026ના રોજ પોતાની સાથે થયેલી શારીરિક અને માનસિક પ્રતાડનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સતત હેરાનગતિના કારણે દીકરો આપઘાત કર્યાનો પિતાનો FIRમાં ઉલ્લેખસાથે જ સુસાઇડ નોટમાં ‘આ નોટને રતનકુમારનું ડાઇંગ ડિકલેરેશન માનવામાં આવે’ એવો ઉલ્લેખ કરી પાંચ લોકોના નામ જવાબદાર તરીકે લખવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતકના પિતાનો આક્ષેપ છે કે, સતત હેરાનગતિના કારણે તેમનો દીકરો માનસિક રીતે તૂટી ગયો હતો અને અંતે આત્મહત્યાનું પગલું ભરવા મજબૂર થયો હતો. હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલાની તપાસ SC, ST સેલના ACP ચિંતન પટેલને સોંપવામાં આવી છે. મૃતકને MBBSના જ 5 વિદ્યાર્થી ત્રાસ આપતા હતાંઃ ACP રાજકોટ SC, ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને MBBSના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યા મૂજબ, તેમની સાથે અભ્યાસ કરતા MBBSના જ 5 વિદ્યાર્થી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે જ તેને આપઘાતનું અંતિમ પગલું ભર્યુ હતુ. પોલીસે મૃતક યુવાન સાથે અભ્યાસ કરતા મેડિકલના 5 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ સિવાય એક મહિલા મિત્રનો ઉલ્લેખ છે, જે મૃતક યુવાન અને આરોપીઓ બંનેના મિત્ર છે. જે પણ MBBSમાં જ અભ્યાસ કરે છે. તેઓની વચ્ચે વ્હોટ્સએપ મેસેજમાં વાતચીત થતી હતી. પાંચ આરોપી પૈકી ત્રણ આરોપી રાજસ્થાનના વતની છે. એક આરોપી હરિયાણા તેમજ એક આરોપી ભરૂચનો વતની છે. ત્રીજી વખત આપઘાતના પ્રયાસમાં મોતરતનકુમારે અગાઉ એક નહીં પરંતુ બે-બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ત્રીજી વખત તેને આપઘાતનો પ્રયાસ કરતા તેનું મૃત્યુ નીપજ્યુ. અગાઉ 28 જાન્યુઆરી, 2026ના રોજ એઇમ્સની હોસ્ટેલ છોડી રતનકુમાર સુસાઇડ નોટ લખી પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવવા પહોંચી ગયો હતો. જો કે, પોલીસ દ્વારા તેને રેલવેના પાટા પાસેથી બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ રતનકુમારનું કાઉન્સિલિંગ કરી તેની કસ્ટડી પરિવારજનોને સોંપવામાં આવતા તેઓ રતનકુમારને રાજસ્થાનના જેસલમેર પોતાના ઘરે લઈ ગયા હતા, જ્યાં પણ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. તાજેતરમાં રતનકુમાર MBBSની ફાઈનલ યરની એક્ઝામ આપવા માટે રાજકોટ પરત આવ્યો હતો. જો કે, તે હોસ્ટેલની જગ્યાએ આપઘાત કરવા રેલવે ટ્રેક પર ગયો હતો અને ટ્રેન નીચે ઝંપલાવી લીધુ હતું. જો તે સમયે પોલીસે કાર્યવાહી કરી હોય તો કદાચ....જાન્યુઆરી મહિનામાં જ્યારે રતનકુમાર આપઘાત કરવા નીકળ્યો તે સમયે તેણે લખેલી સુસાઈડ નોટમાં હાલના આરોપીઓના નામ લખ્યા હતા. જો કે, તે સમયે રતનકુમારના પરિવારે ફરિયાદ ન કરી હોવાના કારણે પોલીસે આરોપીઓને વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહોંતી. જે તે સમયે આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આજે રતનકુમાર જીવીત હોત! ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો યુવકે આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ ઈન્સ્ટાગ્રામ પર મૂકીજે બાદ ગત 13 માર્ચ, 2026ના યુવાન રાજસ્થાનથી રાજકોટ આવી પહોંચ્યો હતો અને 14 માર્ચના વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ છે. યુવાને આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી, જેમાં તેમની સાથે અભ્યાસ કરતા મિત્રો જ તેમને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તેઓ કઈ રીતે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, તેનો કોઈ ઉલ્લેખ નથી. આજે 15મી માર્ચે પાંચેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. AIIMS રાજકોટના 2021 બેચના વિદ્યાર્થી મૃતક રતનકુમાર મેઘવાલ દ્વારા લખાયેલ એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે તેની આત્મહત્યા માટે જવાબદાર કારણો અને વ્યક્તિઓ વિશે વિગતવાર માહિતી આપી છે. રતનકુમારે લખેલી સુસાઈડ નોટનો સારાંશ મારપીટ અને પ્રતાડના: રતનકુમારે ઉલ્લેખ કર્યો છે કે 27/1/26ના રોજ આ 5 છોકરાએ તેમની સાથે રૂમ 203 (બોયઝ હોસ્ટેલ)માં મારપીટ કરી હતી. તેમણે રતનકુમારના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યા હતા, જેથી તેમને માનસિક રીતે તોડી શકાય. યુવતી વિશે સ્પષ્ટતા: રતનકુમાર ભારપૂર્વક જણાવ્યું છે કે આમાં યુવતીની કોઈ ભૂલ નથી અને તેને અથવા તેના માતા-પિતાને આ માટે જવાબદાર માનવા નહીં. તેમના મતે, યુવતી પોતે જ આ છોકરાઓના 'માઇન્ડ ગેમ' અને 'લવ બોમ્બિંગ'નો શિકાર બની હતી. રતનકુમાર અને યુવતીનો સંબંધ: તેમની વચ્ચે કોઈ પ્રેમ સંબંધ (Love) નહોતો પરંતુ ઊંડું ભાવનાત્મક જોડાણ (Emotional Attachment) હતું. રતનકુમાર સ્વીકાર્યું કે બંને વચ્ચે ગેરસમજ થઈ હતી અને વાતચીત બંધ થવાને કારણે સ્થિતિ બગડી હતી. પ્રણવ પાલીવાલની ભૂમિકા: રતનકુમાર આક્ષેપ કર્યો છે કે પ્રણવે રતનકુમાર અને યુવતી વચ્ચેના તણાવનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે યુવતીને ઈમોશનલી મેનીપ્યુલેટ કરીને પોતાની જાળમાં ફસાવી હતી, જે માત્ર એક 'ટાઈમપાસ' હતો. અંતિમ ઈચ્છાઓ અને વિનંતીઓકાનૂની કાર્યવાહી: રતનકુમાર માંગ કરી છે કે તે 5 છોકરા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમના ફોનની FSL તપાસ કરવામાં આવે, જેથી ડિલીટ કરેલા વીડિયો અને પુરાવા મળી શકે. યુવતી માટે રક્ષણ: રતનકુમાર કોલેજને વિનંતી કરી છે કે યુવતી સામે કોઈ કાનૂની કે એકેડેમિક પગલાં ન લેવામાં આવે. તેને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવે અને તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવે. અન્ય પીડિતો: પત્રમાં જણાવાયું છે કે આ જ છોકરાઓએ અગાઉ રાજ તિવારી નામના વિદ્યાર્થી સાથે પણ મારપીટ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નહોતા. સુસાઈડ નોટથી સમજો આખી ઘટના 27 જાન્યુઆરીએ હું શારીરિક અને માનસિક હેરાનગતિનો શિકાર બન્યો હતો. મેં ઉશ્કેરાઈને સુસાઇડ નોટ લખી અને આખો દિવસ પોલીસથી બચીને રાત્રે રેલવે ટ્રેક પર ઉભો હતો ત્યારે પોલીસે ટ્રેસ કરી લીધો. 2021ની બેચના 5 છોકરાએ મારી સાથે મારઝૂડ કરીપરંતુ આજે હું ઉશ્કેરાયા વિના લખી રહ્યો છું. રતનકુમાર મેઘવાલ, એઇમ્સ-રાજકોટ. મારા મોતના જવાબદાર 2021ની બેચના 5 છોકરા છે. તેમણે મારી સાથે મારઝૂડ કરી હતી. જેમાં પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ નિર્વિમ નૂર અને યુવરાજ ચૌધરી સામેલ છે. 28 જાન્યુઆરી, 20026ના રોજ પહેલો સુસાઈડ લેટર લખ્યો ત્યારે મેં મારા મોત માટે મારી સાથે થયેલા દગાને જવાબદાર ઠેરવ્યો પણ મારા મોત માટે 5 છોકરા જવાબદાર છે, જેણે મારી સાથે મારઝૂડ કરી છે. 12 કલાક બાદ રેલવે ટ્રેક પર મળ્યો અને ત્યાર બાદ મને જાઈ થઈ તે વ્યવહાર સમજોમારી ઈચ્છા છે કે, નીલમ(નામ બદલ્યું છે) અને મારા પિતાને જવાબદાર ન માનવામાં આવે. 28 જાન્યુઆરી, 2026ના રોજ હું કોલેજથી ક્યાંક ચાલ્યો ગયો તો 12 કલાક બાદ હું રેલવે ટ્રેક પર મળ્યો અને ત્યાંથી આવ્યા બાદ મને જાણ થઈ અને જે વ્યવહાર થયો તે સમજો. રતનકુમાર નીલમ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતોરતનકુમારને નીલમનો આશિક સમજવામાં આવ્યો પણ રિયાલિટીમાં રતનકુમાર એક ઇમોશનલ વ્યક્તિ હતો જે નીલમ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો. પ્રેમ-રોમાન્સ કંઈ નહીં. જે નીલમની કેર કરવા માટે મેં તેના ઘરે કોલ કર્યો. પરંતુ તેના માતા-પિતા સામે તેની નિંદા કરી નહીં, ઉલટાનું તેને સમજાવ્યું કે, તમે નીલમને બેસીને પ્રેમથી સમજાવો. તો પહેલી સુસાઇડનોટમાં નીલમને કેમ ખરી-ખોટી કહી? કારણ કે જ્યારે રતનકુમારને ખબર પડી કે નીલમે કોલ રેકોર્ડિંગ(જેમાં નીલમ માટે કંઈ ખરાબ બોલ્યો નહીં) પ્રણવને મોકલી દીધું અને રતનકુમારને માર ખવડાવવાનો વિચાર કર્યો. રતનકેુમાર તેને પોતાની સાથે થયેલો દગો માની લીધો. રતનકુમારને તેના માટે ગુસ્સો આવ્યો કે તેના માટે સારું વિચાર્યું છતાં મારી સાથે આવો વ્યવહાર કર્યો. (IMPના માર્ક સાથે)-નીલમ રતનકુમારના ઇમોશનલ એટેચમેન્ટને શરૂઆતથી જ પ્રેમ સમજી રહી હતી, તેને એવું લાગતું હતું કે રતનકુમાર મને પ્રેમ કરે છે. પરંતુ વાસ્તવિકતા જુદી હતી. પરંતુ રતનકુમાર જ્યારે હોસ્ટેલ પરત આવ્યો ત્યારે જાણ થઈ કે રેકોર્ડિંગ પાંચ છોકરામાંથી કોઈ પાસે પહોંચ્યું છે. પરંતુ પ્રણવ પાસે નથી અને નીલમના કોઈ મિત્રએ મોકલ્યું છે. જ્યારે રતનકુમારે સુસાઈડ નોટ નીલમને મોકલી તો તુરંત તેનો રિપ્લાય આવ્યો, તમે મારા ઘરે કોલ કરી ખરાબ કર્યું તમે સોરી બોલી દો. (IMPના માર્ક સાથે)-મને લાગતું નથી કે, નીલમને રેકોર્ડિંગ શેર કરતી વખતે કોઈ આઇડિયા હશે કે, પ્રણવ અને તેના દોસ્તી રતનકુમાર સાથે મારપીટ કરશે નહીંતર નીલમ એવું કરત નહીં. નીલમ અથવા તેની બહેનપણીઓઓને મારી મિત્રને જવાબદાર ન બનાવવામાં આવે, ના માતા-પિતાને આમાં ખેંચવામાં આવે. આ પાંચેય સામે કાનૂની કાર્યવાહી કરી મારપીટનો કેસ દાખલ કરવો. એમણે પહેલા રાજ સાથે મારપીટ કરી, હવે મારી સાથ કાલે ફરી એક વાર કરશે. ગુનાખોરીની માનસિકતા ધરાવે છે, નાર્સિસ્ટ છે. એમણે શારીરિક રીતે હેરાન કરીને માનિસક ટોર્ચર એક કલાક સુધી કર્યાં. જેના કારણે ડિપ્રેશન થયું હતું. એમણે મારપીટ કે વીડિયો/ઓડિયો નથી બનાવ્યો તો FSL તપાસ કરવામાં આવે.એક યુવતી નીલમને ઈમોશનલ મેન્યૂપ્લેટ કરીને ભાવનાત્મ રીતે ખોટા પ્રેમમાં ફસાવીને ટાઈમપાસ કરીને કેટલાય કેસ એની પર કર્યાં. જેને રતનકુમારને દગો માન્યો. રતનકુમારે નીલમને જવાબદાર માની કેમ કે નીલમે જ્યારે કોલ રેકોર્ડિંગ શેર કરીને પ્રણવ અને એના મિત્રો પાસે રતનકુમારને માર ખવડાવી એની સાચી માહિતી મળી ગઈ હતી. તો હું નીલમ પાસે માંફી માગું છું એને બિલકુલ આઈડિયા ન હોત કે પ્રણવ અને એના મિત્રો રતનકુમાર સાથે મારપીટ કરશે, એના માટે નીલમને જવાબદાર માનવામાં આવે. પૂરી કોલેજ નીલમને રતનકુમારના નિર્ણય માટે જવાબદાર ન માને. હું અને નીલમ પરિસ્થિતિનો શિકાર બન્યા. કોલેજના તમામ વ્યક્તિ એમાં નીલમને કસૂરવાર ન સમજે એ મારી અંતિમ ઇચ્છામારી હજુ એક અંતિમ ઈચ્છા છે કે કોલેજના તમામ વ્યક્તિ એમાં નીલમને કસૂરવાર ન સમજે અને એને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા દે. જો શક્ય હોય તો એને સપોર્ટ કરે. તે પરિસ્થિતિઓનો શિકાર બની છે. જે નીલમની આસપાસના લોકો છે તે તેને સંભાળે, સપોર્ટ કરે. અને નીલમ પોતાના જીવનમાં સફળ થશે અને ન થાય તો રતનકુમારની આત્મા દુખી થશે. કે નીલમને પ્રણવવાળી વાત બતાવીને સાચું નથી કર્યું કે કે પ્રણવે રતનકમાર-નીલમ ટેન્શનનો ફાયદો ઉઠાવીને ગેમ રમી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:29 am

ચાર સગીરોએ ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો:બહેનના એન્યુઅલ ફંક્શનમાં ગયો'તો, પિતાનો ગંભીર આરોપ- ‘ઓનલાઇન મંગાવ્યા હતા ચપ્પુ’

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.પિતાનો ચોંકાવનારો આરોપ: ઇકોમર્સ સાઇટ પરથી હથિયારો મંગાવાયા આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ અત્યંત ગંભીર અને ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પિતાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. પિતાએ આક્ષેપ કર્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પિતાનું કહેવું છે. પાંડેસરા પોલીસે 4 સગીરોને દબોચ્યા, પરિવારમાં રોષ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનાર ચારેય વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ખરેખર હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા. એક તરફ પુત્ર હોસ્પિટલના બિછાને લોહીલુહાણ હાલતમાં છે અને તેની પરીક્ષા છૂટી ગઈ છે, ત્યારે બીજી તરફ પરિવારજનો આવા હિંસક સગીરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:26 am

સુત્રાપાડાના કદવાર ગામમાં મોડીરાત્રે સિંહના આંટાફેરા:CCTVમાં દૃશ્યો કેદ, ગ્રામજનોમાં ભયનો માહોલ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં મોડી રાત્રે સિંહના આટાફેરા જોવા મળ્યા હતા. 14 માર્ચની વહેલી સવારે લગભગ 4 વાગ્યે ગામની ગલીઓમાં સિંહ ફરતો હોવાના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં સિંહ શાંતિથી ગામના રસ્તાઓ પર ફરતો જોવા મળે છે. રાત્રિના સમયે મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, સવારે આ દૃશ્યો સામે આવતા ગામમાં ભારે ચિંતા અને ભયનો સંચાર થયો હતો. ગીર અને આસપાસના જંગલ વિસ્તારોને અડીને આવેલા ગામોમાં સિંહોના આવા આટાફેરાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી સિંહોનો માનવ વસાહત નજીક આવવાનો સિલસિલો વધ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભય અને અનિશ્ચિતતા વધી રહી છે. કદવાર ગામના રહેવાસીઓએ વન વિભાગને આ અંગે જાણ કરી છે. તેમણે સુરક્ષા વધારવા તેમજ સિંહોને ફરી જંગલ વિસ્તારમાં ખદેડવા માટે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. ગામમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની અને લોકોમાં જાગૃતિ લાવવાની પણ અપીલ કરવામાં આવી છે. વન વિભાગના સૂત્રો અનુસાર, ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વધારો થતાં તેઓ ખોરાક અને નવા વિસ્તારની શોધમાં ક્યારેક માનવ વસાહત નજીક આવી જાય છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે બહાર ન નીકળવા અપીલ કરી છે. કદવાર ગામની આ ઘટના માનવ વસાહત અને વન્યજીવો વચ્ચે વધતા સંપર્ક અંગે ફરી એકવાર ચર્ચા જગાવી રહી છે. ગ્રામજનોની સુરક્ષા સાથે સિંહોના સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું એ વન વિભાગ માટે એક મહત્વપૂર્ણ પડકાર બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:19 am

રાજકોટમાં 6 શખસોએ પાઈપના ઘા ફટકારી યુવકની હત્યા નિપજાવી:આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, માતાએ કહ્યું- 'મારા દીકરાને સમાધાન માટે બોલાવી મારી નાખ્યો'

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખસોએ એક યુવકનું ઢીમ ઢાળી દીધાનો બનાવ સામે આવ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, એટલો ક્રુરતાથી માર મારવામાં આવ્યો હતો કે શરીરનું એકેય અંગ બાકી નથી રાખ્યું. જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતક ભાવેશ પરિણીત અને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના માતાએ રડતા રડતા જણાવ્યું હતું કે, મારા દીકરો 2 લાખ રૂપિયા લઈ સમાધાન માટે ગયો હતો. તેઓએ છેતરીને મારા દીકરા પર ઘા કર્યો. 150 ફૂટ રીંગ રોડ પરથી ભાવેશને કારમાં ઉઠાવી જઈ હુમલો કરાયોનર્સિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલ રાહુલ પરમાર દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ વાણવી તેમજ પ્રિન્સ વાણવી સાથે સોપાન હાઈટ્સ પાસે બેઠા હતા. તેમજ ત્યારબાદ ત્રણેય મિત્રો ઘરે જમવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વીફ્ટ કાર તેમજ બાઈક લઈને અમારી પાછળ આવ્યા હતા. તેમજ તેમના દ્વારા લાકડી, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પ્રિન્સ પણ ત્યાં ઉભો રહેતા પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હતો. ડર લાગવાના કારણે હું ત્યાંથી સાઈડમાં જતો રહ્યો હતો. ત્યારબાદ કારમાં આવેલા વ્યક્તિઓ ભાવેશને કારમાં બેસાડીને ત્યાંથી લઈને જતા રહ્યા હતા. પ્રિન્સને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રસના ચિચોડા બાબતે મહાનગરપાલિકામાં કરેલી અરજી કારણભૂતબનાવ સંદર્ભે પ્રિન્સ ને પૂછતા તેણે જણાવ્યું હતું કે હમીર જોગરાણા સાથે ચિચોડો રાખવા બાબતે ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. જે બાબતનો ખાર રાખીને હમીર જોગરાણા સહિતના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભાવેશ ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ તેને માર મારીને રસ્તામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારયુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમે ખસેડવામાં આવતા ત્યાં સંબંધીઓ અને તેમના સમાજના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને આરોપી પકડાયા બાદ જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું.મૃતક પત્રકાર હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા જાણવા મળ્યું છે. ભાવેશનું એકેય અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય- માવજીભાઈ રાખસીયાસામાજિક આગેવાન માવજીભાઈ રાખસીયાએ જણાવ્યું હતું કે, અમારા સમાજના યુવાન ભાવેશ વાણવીની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. 10 થી 12 શખ્સોએ હૂમલો કર્યો હતો. જેમાં યુવાનનું એક પણ અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય. જેથી પોલીસ આરોપીઓની સાન ઠેકાણે લાવે તેવી માંગણી છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવીમૃતક ભાવેશ બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેમના બે બહેન શિલ્પાબેન અને તારીકાબેન નામ છે.તેમજ તેમના પત્નીનું નામ દિવ્યાબેન છે તેમજ સંતાનમાં બે પુત્ર લક્ષ(ઉ.7) અને અંશ(ઉ.4) છે.પોતે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ભાવેશ વિરુદ્ધ અગાઉ ધમકી અંગેની 3 ફરિયાદ અને એક વખત પાસા થઈ ચૂકી છેમૃતક ભાવેશ વાણવી જેઓ પત્રકાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે તેમજ અગાઉ તેમનો અને બિલ્ડરનો એક ઓડિયો વાયરલ થયો હતો.તેમજ સાધુવાસવાણી રોડ પર પાર્સલ આપવા મામલે તેમના છાત્રાલયના સંચાલકો સાથે માથાકૂટ પણ કરી હતી.જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમજ પોલીસે ભાવેશને પાસા તળે જેલ હવાલે કર્યો હતો.તે થોડા સમય પહેલા જેલમાંથી છૂટયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:15 am

મહેસાણા જિલ્લામાં જમીન વિવાદ સંબંધિત ફરિયાદો વધી:ગત વર્ષે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ 273 અરજી નોંધાઈ, 134 અરજીમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન

કહેવાય છે કે 'જર, જમીન અને જોરું,ત્રણેય કજીયાના છોરું', આ કહેવત વર્તમાન સમયમાં મહેસાણા જિલ્લામાં સાચી સાબિત થઈ રહી છે.જિલ્લામાં જમીનના ભાવ કરોડો રૂપિયાએ પહોંચતા જમીન સંબંધી તકરારો અને વિવાદોમાં મોટો વધારો જોવા મળ્યો છે.ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગ વિરોધી કાયદા હેઠળ સરકારી ચોપડે નોંધાતી અરજીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગની 273 અરજી ને 134 અરજીમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાનમહેસાણા અધિક કલેક્ટર જશવંત જેગોડાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર પાસે જમીન વિવાદને લગતી અસંખ્ય અરજીઓ આવી રહી છે.ગત વર્ષ દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કુલ 273 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તંત્ર દ્વારા આ તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 134 જેટલી અરજીઓમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન થયું હોય અથવા માપણી જેવા ટેકનિકલ પ્રશ્નો હોય તેવા કિસ્સાઓમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી અરજીઓ ફાઈલ કરવામાં આવી છે. કોઈ કિસ્સો ગુનો દાખલ કરવા પાત્ર છે કે નહીં તેનો નિર્ણય કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદોમાં તંત્ર દ્વારા અત્યંત પદ્ધતિસરની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર અને જરૂર જણાય ત્યાં તાલુકા વિકાસ અધિકારી કે ચીફ ઓફિસરનો વિગતવાર અહેવાલ મંગાવવામાં આવે છે. કોઈ કિસ્સો ગુનો દાખલ કરવા પાત્ર છે કે નહીં તેનો નિર્ણય જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી હાઈપાવર કમિટી દ્વારા લેવામાં આવે છે. આ કમિટીમાં જિલ્લા પોલીસ વડા , જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર અને સભ્ય સચિવ તરીકે RAC ફરજ બજાવે છે. 6 કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈઅધિક કલેક્ટરે વધુમાં જણાવ્યું કે જે અરજીઓમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્ય જણાય ત્યાં બંને પક્ષોને રૂબરૂ સાંભળવામાં આવે છે.ચર્ચા-વિચારણા અને તપાસના અંતે જે કેસ અત્યંત ગંભીર જણાયા છે તેવા 6 કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. જમીનોના વધતા ભાવને કારણે પેદા થતા ભૂમાફિયાઓ અને ગેરકાયદે કબ્જો જમાવનારા તત્વો સામે તંત્રની આ કાર્યવાહીથી ફફડાટ પેસી ગયો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:56 am

વડોદરામાં દંપતીનો પોલીસ પર હુમલો, VIDEO:ઝપાઝપી કરીને છુટ્ટા પથ્થરના બ્લોક માર્યા, શર્ટ પણ ફાડી નાખ્યો; ડ્રાઇવરે કહ્યું-બંને પીધેલા હતા

વડોદરા શહેરના નાગરવડા વિસ્તારમાં પરિવારમાં ઝઘડો થતાં પહોંચેલા પોલીસ કર્મચારીઓ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડાયલ 112 પર મળેલી ફરિયાદ બાદ જનરક્ષક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચતા દંપતીએ પોલીસકર્મીઓ પર પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એલઆરડી જવાન દીપકભાઈ અને જનરક્ષક ડ્રાઈવર પરેશભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંનેને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. પારિવારિક ઝઘડામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતીઅનાર્મ લોકરક્ષક (જનરક્ષક 112 ઇન્ચાર્જ) દિપકકુમાર તેજાભાઈએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગઇકાલે(15 માર્ચ) દિપકકુમાર તેજાભાઈ જનરક્ષક 112ના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના સાથે ડ્રાઈવર પરેશભાઈ નરવતસિંહ ચૌહાણ હતા. રાત્રિ 10:43 વાગ્યે જનરક્ષક 112ને THREAT TO LIFEનો કોલ મળ્યો હતો. આ કોલના આધારે જનરક્ષક 112ના ઇન્ચાર્જ અનાર્મ લોકરક્ષક દિપકકુમાર તેજાભાઈ અને ડ્રાઈવર પરેશ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં ફોન કરનાર ઈન્દિરાબેન ભાર્ગવ અને તેમના પતિ ધીરજભાઈ બનવારીલાલ સરોજ(બંને રહેવાસી, સોમા તળાવ ચાર રસ્તા, મહાદેવ મંદિરની બાજુમાં ગલી, વડોદરા) તેમની માતા સાથે ઝઘડા કરી રહ્યા હતા. પતિ-પત્ની પોલીસકર્મી પર તૂટી પડ્યાપોલીસકર્મી દિપકભાઈએ શાંતિ જાળવવા અને બનાવની વિગતો જણાવવા માટે કહ્યું હતું. જેથી ઈન્દિરાબેન અને તેમના પતિ ધીરજભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પોલીસકર્મી સાથે ઝઘડો કર્યો હતો, ગંદી-બિભત્સ ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ગડદાપાટું મારવાનું શરૂ કર્યું હતું. જનરક્ષક 112ના ડ્રાઈવર પરેશભાઈ પોલીસકર્મી દિપકભાઈને છોડાવવા વચ્ચે પડ્યા હતા, તો તેમને પણ માર માર્યો હતો. ઈન્દિરાબેને પણ પતિનું ઉપરાણું લઈને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ધીરજભાઈએ જમીન પર પડેલા પથ્થરના બ્લોકથી દીપકભાઈના જમણા હાથ પર માર માર્યો અને છૂટો પથ્થર છાતી પર માર્યો હતો. ડ્રાઈવરને પણ જમણા ખભા પર પથ્થર માર્યો હતો. પોલીસકર્મીને માર મારી શર્ટ ફાડી નાખ્યોપતિ પત્ની કાબૂમાં ન આવતા દિપકભાઈએ વડોદરા શહેર કંટ્રોલને મદદ માટે કોલ કર્યો હતો. ત્યારબાદ કારેલીબાગ ટુ-મોબાઈલ ઇન્ચાર્જ રવિરાજસિંહ માવુભા અને ડ્રાઈવર શીતાંશ મહેશભાઈ ગોહિલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓની મદદથી ધીરજભાઈને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ધીરજે શીતાંશભાઈને પણ માર માર્યો હતો અને તેમનો શર્ટ ફાડી નાખ્યો હતો અને ધીરજ જોરથી બોલતો કે, મને છોડી દો નહીં તો જાનથી મારી નાખીશ. ઈન્દિરાબેન પણ પાછળથી પોલીસ સ્ટેશન પહોંચી હતી. દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયોઆરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ગંદી ગાળો આપીને ફરજમાં રુકાવટ ઉભી કરીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસકર્મી દિપકભાઈ, ડ્રાઈવર પરેશભાઈ તથા ટુ-મોબાઈલ ડ્રાઈવર શીતાંશભાઈ પર હુમલો કર્યો હતો. આ મામલે કારેલીબાગ પોલીસે દંપતી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પતિ-પત્ની પીધેલા હતા: પોલીસ કર્મી112 જનરક્ષકના ડ્રાઇવર પરેશ ચૌહાણએ જણાવ્યું હતું કે, અમને 112 હેલ્પલાઇન દ્વારા એક ફરિયાદ મળી હતી, જે બાદ અમે લોકેશન પર પહોંચ્યા હતા. અમે જ્યારે ત્યાં ગયા અને એક વ્યક્તિને પકડ્યો હતો, ત્યારે તેણે સીધો અમારા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. તે લોકોએ અમારા પર પથ્થરમારો કર્યો હતો. હુમલો કરનાર પતિ-પત્ની હતા અને તેઓ બંને પીધેલી હાલતમાં હતા. તેઓએ પોલીસ સાથે પણ ઝઘડો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:53 am

ઓવરસ્પીડમાં વાહન ચાલકને રોકતા હોબાળો:પરિવારે સાબરમતી રિવરફ્રન્ટ પીઆઇ અને સ્ટાફને પટ્ટા અને વર્દી ઉતરાવી લેવાની ધમકી આપી

શહેરના રીવરફ્રન્ટ પર નાઇટમાં નોકરી દરમિયાન ઓવર સ્પીડમાં આવનાર વાહન ચાલકને રોકતા પરિવારે સાબરમતી પીઆઇ અને પોલીસ સ્ટાફને પટ્ટા અને વર્દી ઉતરવાની ધમકી આપી હતી.દંપતી અને તેમના દીકરાઓએ પોલીસને ગાળ આપી ખોટા આક્ષેપો કરીને ટોળું પણ ભેગું કર્યું હતું.આ અંગે પોલીસે ગુનો નોધી ચારેયની ધરપકડ કરી છે. પોલીસે લાઈસન્સ માગતા જોરથી બૂમો પાડવા લાગ્યાસાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદીશભાઇએ ફરિયાદ નોંધાવી છે કે ગત મોડી રાતે તેઓ સાબરમતી રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન વાઘેલા અને સ્ટાફના કર્મચારીઓ હાજર હતા ત્યારે વલ્લભસદન પાસે રાતે 12:30 વાગે ઊભા રહીને રોંગ સાઈડમાં આવતા વાહનો ચાલકોને સમજાવીને મોકલવામાં આવતા હતા. દરમિયાન એક ટુ વ્હીલર ઉપર બે યુવકો આવ્યા હતા જે રોંગ સાઈડમાં હોવાથી તેમને રોકીને તેમની પાસે લાયસન્સ અને કાગળ માંગ્યા હતા પરંતુ કાગળ ન હોવાથી બંને જણાએ પોલીસ પર ઉશ્કેરાઈને જોરથી બૂમો પાડવા લાગ્યા અને આક્ષેપો કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. દીકરાઓનું ઉપરાણું લઈ માતાપિતાએ પોલીસને ધમકાવ્યાબંને યુવકોના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દીકરાનો ઉપરાણું લઈને પોલીસની ફરજમાં રૂકાવટ કરી મોબાઈલ ફોનથી પોલીસનો વીડિયો ઉતારીને બોલવા લાગ્યા હતા કે તમારા પટ્ટા તેમજ વર્ધી ઉતારવી દઈશું.આસપાસ લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું જેથી પોલીસે બીજી ગાડી બોલાવીને જાણ કરી હતી.પોલીસ દ્વારા માતા-પિતા અને તેમના બંને દીકરાઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.પોલીસની ફરજમાં રૂકાવટ બદલ યજ્ઞેશ પંડ્યા તેમના પત્ની બીના પંડ્યા પુત્ર ગૌરવ પંડ્યા અને દેવ પંડ્યા વિરુદ્ધ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ચારેની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:43 am

વલસાડમાં પવનથી ગરમીમાં આંશિક રાહત:તાપમાન 34°C, UV ઇન્ડેક્સ 9; સાવચેતી જરૂરી

વલસાડ જિલ્લામાં સોમવારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. મહત્તમ તાપમાન 34C આસપાસ સ્થિર રહ્યું હોવા છતાં, બપોર બાદ પવનની ગતિ વધવાને કારણે ગરમીની તીવ્રતા ઓછી અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વલસાડમાં મહત્તમ તાપમાન આશરે 34C અને લઘુત્તમ તાપમાન 24C રહેવાની સંભાવના છે. સવારથી આકાશ સ્વચ્છ જોવા મળ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી લગભગ 10 mph (16 કિમી/કલાક)ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનને કારણે 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવા છતાં, અનુભવાતી ગરમી 29C જેટલી લાગી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ લગભગ 67% નોંધાયું છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોનો ઇન્ડેક્સ 9 સુધી પહોંચ્યો હોવાથી, બપોરના સમયે તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ગઈકાલે રવિવારે પણ વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 34C નોંધાયું હતું. આજે પણ તાપમાન લગભગ યથાવત રહેવાની શક્યતા છે, પરંતુ પવનની ગતિ વધવાથી ગરમીની અસર ઓછી અનુભવાશે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાપમાનનો અંદાજ નીચે મુજબ છે: વલસાડમાં મહત્તમ 32C – 34C અને લઘુત્તમ 24C – 25C (આકાશ સ્વચ્છ); વાપીમાં મહત્તમ 33C – 35C અને લઘુત્તમ 24C – 25C (ગરમ અને ભેજવાળું); ધરમપુરમાં મહત્તમ 34C – 36C અને લઘુત્તમ 22C – 23C (રાત્રે ઠંડક); કપરાડામાં મહત્તમ 35C – 37C અને લઘુત્તમ 21C – 23C (બપોરે વધુ ગરમી); પારડીમાં મહત્તમ 32C – 34C અને લઘુત્તમ 23C – 24C (આકાશ ચોખ્ખું); ઉમરગામમાં મહત્તમ 31C – 33C અને લઘુત્તમ 24C – 25C (દરિયાકાંઠે હોવાથી તાપમાન ઓછું); નાનાપોંઢામાં મહત્તમ 34C – 36C અને લઘુત્તમ 22C – 24C (ગરમ હવામાન). દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને વલસાડ અને ઉમરગામમાં, ભેજનું પ્રમાણ 70% થી 80% સુધી રહેવાની શક્યતા છે. આના કારણે બપોરના સમયે ઉકળાટ વધુ અનુભવાઈ શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી અઠવાડિયામાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઉનાળાની અસર વધુ તીવ્ર બની શકે છે. કાળઝાળ ગરમી સામે રાહત મેળવવા લોકો બરફ ગોલા, આઇસ ડિસ, શેરડીનો રસ, સિકનજી અને લીંબુ શરબત જેવા ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:43 am

હાપા યાર્ડમાં અત્યાધુનિક વેગન શેડ તૈયાર:રૂ. 45.41 કરોડના ખર્ચે બન્યો, મરામત ક્ષમતા વધશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત જામનગરના હાપા યાર્ડમાં માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. 45.41 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ શેડથી દરરોજ 5 વેગનની મરામત ક્ષમતા વધશે અને માલસામાનનું પરિવહન વધુ ઝડપી બનશે. આ પ્રોજેક્ટ ગતિ શક્તિ યુનિટ, રાજકોટ દ્વારા વિક્રમી સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. મુખ્ય વહીવટી અધિકારી (રોડ સેફ્ટી, ચર્ચગેટ) અમિત મનુવાલના માર્ગદર્શન અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના દિશાનિર્દેશ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિ શક્તિ, રાજકોટ) સુધીર દુબે અને તેમની ટીમે આ કાર્ય પાર પાડ્યું છે. વર્તમાનમાં, માત્ર દોઢ વર્ષના વિક્રમી સમયમાં આ પ્રોજેક્ટનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ નવી સુવિધા શરૂ થવાથી બી.ટી.એન.પી., બી.સી.એન., બી.ટી.પી.એલ.એન. સહિત વિવિધ પ્રકારના માલવાહક વેગનનું નિરીક્ષણ, મરામત અને જાળવણીનું કામ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થઈ શકશે. આનાથી રેલવેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે. નવા વેગન શેડનું કદ 172 મીટર 25 મીટર છે અને તેની મહત્તમ ઊંચાઈ 16.5 મીટર છે. તેમાં ટ્રસ વગરની સ્વ-સમર્થિત હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટ લગાવવામાં આવી છે. શેડની અંદર વેગનની જાળવણી માટે ત્રણ રેલવે ટ્રેક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ભારે સાધનોના ઉપયોગ દરમિયાન ફ્લોરિંગને સુરક્ષિત રાખવા માટે હાર્ડોનાઈટ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે લાઇન નંબર 1 અને 3 ની સાથે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેનાથી કર્મચારીઓ વેગન પર સુરક્ષિત રીતે પહોંચી શકશે. નવા શેડને રાજકોટ દિશા તરફથી લાઇન નંબર 22 દ્વારા જોડવામાં આવ્યો છે, જ્યારે એસી લોકો ટ્રિપ શેડને લાઇન નંબર 24 થી અલગ ઇલેક્ટ્રિફાઇડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 78 મીટર 9 મીટરનું આધુનિક વહીવટી ભવન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 રૂમ અને પ્રથમ માળે 12 રૂમનો સમાવેશ થાય છે. તેમાં મહિલા કર્મચારીઓ માટે અલગ મહિલા વિશ્રામ ખંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પરિસરમાં અલગ પાર્કિંગ એરિયા, સર્વિસ રોડ (સીસી રોડ) અને પાણી પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેને હાલની ઓવરહેડ ટેન્ક સાથે જોડીને વેગન શેડ અને વહીવટી ભવનમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. માલવાહક વેગનની મરામત ક્ષમતામાં મોટો વધારો થશે​નવી સુવિધા શરૂ થવાથી માલવાહક વેગનની મરામત ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. જ્યાં પહેલા દરરોજ અંદાજે 12 વેગનની મરામત શક્ય હતી, હવે તે ક્ષમતા વધીને દરરોજ 56 વેગન થઈ જશે. આ સાથે જ આર.ઓ.એચ. (રૂટિન ઓવરહોલિંગ) આઉટટર્ન દર મહિને 70 વેગનથી વધીને 125 થી વધુ વેગન થવાની સંભાવના છે. આ વ્યવસ્થાથી બીમાર વેગનને હવે લગભગ 3 દિવસમાં ફિટ કરી શકાશે, જ્યારે પહેલા આમાં સરેરાશ 10 દિવસ જેટલો સમય લાગતો હતો. આનાથી યાર્ડમાં ભીડ ઘટશે અને માલ લોડિંગ માટે વેગનની ઉપલબ્ધતા ઝડપથી વધશે. સાથે જ અનેક ટેકનિકલ પરીક્ષણો અને ઓવરહોલિંગના કાર્યો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે. ​રેલ સંચાલન અને માલ પરિવહનને મોટો લાભ મળશે​રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધાથી હાપા યાર્ડમાં વેગનની મરામત અને જાળવણીનું કામ પહેલાની સરખામણીમાં ઘણું ઝડપી અને વધુ સારું બનશે. આનાથી વેગન જલ્દી ફિટ થઈને માલ પરિવહન માટે ઉપલબ્ધ થશે, યાર્ડમાં ભીડ ઘટશે અને ટ્રેનોનું સંચાલન વધુ સરળ રહેશે. પરિણામે ઉદ્યોગો અને વેપારીઓને માલસામાનના પરિવહનમાં વધુ સુવિધા મળશે અને રેલવેની માલ પરિવહન ક્ષમતા તેમજ આવકમાં પણ વધારો થશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:40 am

ધોલાઈ બંદરે ફિશરીઝ વિભાગના દરોડા:ઓનલાઈન ટોકન વગર ખલાસીઓ લઈ જતી બે બોટ ઝડપાઈ

ધોલાઈ બંદરે દરિયાઈ સુરક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. ફિશરીઝ વિભાગે ચેકિંગ દરમિયાન બે બોટ ઝડપી પાડી છે, જેમાં નિયમ કરતાં વધુ ખલાસીઓ અને ઓનલાઈન નોંધણી વગરના શ્રમિકો દરિયામાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રથમ ઘટનામાં, ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.આર. ચાવડાની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ધોલાઈ બંદર પર લાંગરેલી 'DARIYA DAULAT' (IND-GJ-15-MM-4059) નામની બોટની તપાસ કરવામાં આવી હતી. બોટના સંચાલક દીપકભાઈ ઉક્કડભાઈ ટંડેલ (રહે. ડુંગરી, વલસાડ) પાસેથી ઓનલાઈન ટોકન માંગવામાં આવતા જાણવા મળ્યું કે, ટોકન નંબર NVDL2802260291 માં માત્ર 7 ખલાસીઓની નોંધણી હતી, જ્યારે બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા. આમ, 2 ખલાસીઓની નોંધણી વગર તેમને દરિયામાં લઈ જઈ સુરક્ષા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. બીજી એક સમાન ઘટનામાં, 'AADHYA SHAKTI' (IND-GJ-15-MM-4113) નામની બોટની તપાસ કરવામાં આવી હતી. તેના સંચાલક અરવિંદભાઈ નાનાભાઈ ટંડેલ (રહે. મોટી દાંતી, વલસાડ) પાસેથી પણ ઓનલાઈન ટોકન (NVDL2702260349) માં 7 ખલાસીઓની મંજૂરી સામે 9 ખલાસીઓ દરિયામાં માછીમારી કરવા ગયા હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બંને બોટ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ દરિયામાં ગઈ હતી અને 15 માર્ચના રોજ પરત ફરી હતી. ફિશરીઝ ગાર્ડ તુલસીદાસ શંકરભાઈ પટેલની ફરિયાદ મુજબ, ઓનલાઈન ટોકનમાં ખલાસીઓની નોંધણી ન કરાવવી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ગંભીર બાબત છે. દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે દરેક ખલાસીની સંપૂર્ણ વિગત સરકાર પાસે હોવી અનિવાર્ય છે. આ મામલે બંને બોટના સંચાલકો સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ 7(4) અને 21(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પી.આઈ. એમ.આર. ચાવડા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:37 am

મોરબીમાં મકાન અને દુકાનમાં આગ:ફાયર વિભાગે બંને સ્થળે આગ પર કાબૂ મેળવ્યો

મોરબી શહેરમાં અલગ-અલગ બે સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાન અને એક મકાનમાં આગ લાગી હતી. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં જ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને સ્થળોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે, આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રથમ ઘટના ગાંધી ચોક પાસે તખ્તસિંહજી રોડ પર આવેલી યદુનંદન ચેમ્બરમાં બની હતી. કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં દુકાનમાં રાખેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં પણ કોઈને ઈજા થઈ ન હતી. બીજી ઘટના મોડી રાત્રે શક્તિ પ્લોટ શેરી નંબર ૧૨માં મહેશ હોટલ સામેની શેરીમાં આવેલા એક મકાનમાં બની હતી. મકાનમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી. આ બનાવમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:36 am

પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા મેડિકલ સેવા શરૂ:સર્જિકલ સાધનો અને અન્ય સેવાઓ ટોકન દરે ઉપલબ્ધ

પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા સમાજ દ્વારા મેડિકલ સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સમાજના જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સર્જિકલ સાધન સામગ્રી, ફ્રી રોગ નિદાન કેમ્પ, ફ્રી હોમ નર્સિંગ સેવા, રાહત દરે લેબોરેટરી તપાસ, ફિઝિયોથેરાપી સેવા અને પ્રસુતાઓને સ્વાસ્થ્યવર્ધક પોષણ સામગ્રીનું વિતરણ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાઓના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ શિક્ષણ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા ડૉ. એન.આર. જોષીએ કરી હતી. આ પ્રસંગે ડૉ. નીતિન છત્રાલિયા, ડૉ. આર.જી. શ્રીમાળી, ડૉ. હાર્દિક જે. શ્રીમાળી, ડૉ. વિપુલ ડી. યાજ્ઞિક, ડૉ. સચિન કે. સાધુ, ડૉ. હાર્દિક એચ. ભટ્ટ, ડૉ. હિરેન એન. આચાર્ય, ડૉ. સૌરવ આર. શ્રીમાળી અને પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ સેવા કાર્ય થકી મેડિકલ બેડ, વ્હીલચેર, ટોઇલેટ ચેર, સ્ટીલની ટોઇલેટ ચેર, હોકર, ફોર લેગ હેન્ડસ્ટીક અને વોકર જેવા સર્જિકલ સાધનો ટોકન દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, ફ્રી રોગ નિદાન કેમ્પ, ફ્રી હોમ નર્સિંગ સેવા, રાહત દરે લેબોરેટરી તપાસ, રાહત દરે ફિઝિયોથેરાપી સેવા અને પ્રસુતાઓને સ્વાસ્થ્યવર્ધક પોષણ સામગ્રીનું વિતરણ જેવી સેવાઓ સો રૂપિયાના ટોકન દરે આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે, તેમ સંયોજક ટીમના મુખ્ય સંયોજક વિનોદભાઈ કરલિયાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે પાટણવાડા ગુરુ બ્રાહ્મણ મેડિકલ સેવા કાર્ય સંયોજક ટીમના મુખ્ય સંયોજકો પ્રવીણભાઈ સાધુ, વિનોદભાઈ કરલિયા અને સહ-સંયોજકો પ્રેમભાઈ શ્રીમાળી, રમેશભાઈ શ્રીમાળી, અનિલભાઈ શ્રીમાળી, ડૉ. દીપકભાઈ શ્રીમાળી, કનુભાઈ નાગર, ડૉ. રમેશભાઈ શ્રીમાળી અને નવીનભાઈ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી. પાટણના જાગૃત નગરસેવક રાજેન્દ્રભાઈ હિરવાણિયાએ શૈક્ષણિક વિકાસ સંકુલની મુલાકાત લઈ તમામ સર્જિકલ સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને સમાજની જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવનાને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:36 am

રાજ્યમાં 18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી:પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત, તાપમાનમાં હજી પણ ઘટાડો થવાની શક્યતા

રાજ્યમાં માર્ચના પ્રારંભમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયા બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે. તો બીજી તરફ 18મી માર્ચથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડીને 40 ડિગ્રીને નીચે આવી જતા હાલ કોઈ શહેરમાં હીટવેવની શક્યતા નથી. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં રાહતરાજ્યમાં સર્જાયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી 7 દિવસ સુધી હિટવેવની કોઈપણ પ્રકારની શક્યતા નથી. 18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહીમાર્ચ મહિનામાં જ પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જતા 18, 19 અને 20 માર્ચ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચના ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલું મહત્તમ તાપમાનહવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 39.2 ડિગ્રી, અમદાવાદમાં 38.4 ડિગ્રી, ભુજમાં 38 ડિગ્રી, ગાંધીનગરમાં 37.9 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, વડોદરામાં 36.5 ડિગ્રી, નલિયામાં 36.4 ડિગ્રી, ભાવનગરમાં 35.3 ડિગ્રી, ડાંગમાં 35.2 ડિગ્રી, દાહોદમાં 34.9 ડિગ્રી, કંડલામાં 34.8 ડિગ્રી, દમણમાં 33.8 ડિગ્રી, પોરબંદરમાં 32.9 ડિગ્રી, દીવમાં 32 ડિગ્રી, ઓખામાં 31.2 ડિગ્રી, વેરાવળમાં 31.2 ડિગ્રી, દ્વારકામાં 29.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી હિટવેવની પણ કોઈપણ પ્રકારની શક્યતા જોવા મળી રહી નથી. પરંતુ આગામી 18, 19 અને 20 માર્ચના કેટલાક જિલ્લાઓમાં માધ્યમથી કમોસમી વરસાદ થઈ શકે છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અત્યારે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચી જશે. તેમજ અન્ય શહેરમાં પણ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો નોંધાશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:28 am

હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબથી વેપારીઓ પરેશાન:વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો, ટ્રાફિક જામ ને ઉડતી ધૂળથી ત્રસ્ત

અમદાવાદના ખોખરા અને CTM સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના બે સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવા સાથે રોજ થતો ટ્રાફિક જામ અવરજવરમાં પડતી ભારે હાલાકીઓ અને દિવસ-રાત કાટમાળના ઉડતા ધૂળ રજકણો અને સેપટના છવાતા આવરણોથી ત્રસ્ત થઈ સંપુર્ણ બંધ પાળવાની જાહેરાત કરીને આજે 16 માર્ચે વિસ્તારની તમામ દુકાનો બંધ કરવામાં આવી છે. તમામ વેપારીઓએ શોપ બંધનું એલાન આપ્યુંમળતી વિગત અનુસાર, તંત્રએ ઓવરબ્રિજ તોડવાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, તે ખાનગી કોન્ટ્રાક્ટર કે તેના દ્વારા કોઈ યોગ્ય બેરિકેડ કે આડશો મુકયા વિના અને દુકાનોની આસપાસ પસાર થતા અને તુટી ગયેલ રસ્તાઓ પર ઉડતી સેપટો કે ધુળ પર પાણીના ટેન્કરો દ્વારા કોઈ છંટકાવ ના કરાતા સ્વાસ્થ્ય સાથે કરવામાં આવી રહેલ ચેડા અને શરદી ઉધરસના દુકાનદારો તેમજ ઓવરબ્રિજની બન્ને બાજુ આવેલ રહેણાંક મકાનોમાં રહેતા નાગરિકોઓ ભોગ બનતા અને તંત્રને જગાડવા આજે શોપ બંધનું એલાન આપ્યું છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ….

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:11 am

મહીસાગરમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોને પાક નુકસાનની ચિંતા:વાદળછાયા વાતાવરણથી ઠંડક, રાજ્યમાં 18-19 માર્ચે કમોસમી વરસાદની આગાહી

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વીરપુર, ખાનપુર, કોઠંબા તેમજ ગોધર સહિતના તાલુકાના વિસ્તારોમાં આકાશમાં ઘેરા વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલમાં ખેડૂતોના ખેતરોમાં ઘઉં, ચણા, ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થવાના તબક્કામાં છે. જો આ સમયમાં અચાનક વરસાદ પડે તો તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત, સતત વાદળછાયા વાતાવરણના કારણે ખેતરમાં વાવેતર કરેલા પાકમાં જીવાત અને રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી જતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બદલાયેલ વાતાવરણના કારણે આંબા ઉપર તૈયાર થઈ રહેલ કેરીના પાકને પણ અસર થતી હોય છે. હાલ ખેડૂતો વાતાવરણ પર નજર રાખી રહ્યા છે અને વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે, જેથી તેમની મહેનતથી તૈયાર કરેલો પાક સુરક્ષિત રહી શકે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ ગતરોજ જણાવ્યું હતું કે, આગામી તારીખ 18 અને 19 માર્ચે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપોને લીધે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તારીખ 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદ થઈ શકે છે. જ્યારે 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની છે તેમજ મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:06 am

વલસાડમાં મીરલ ગ્રુપ દ્વારા ઇફતારીનું આયોજન:ઇસ્ટ યાર્ડમાં કોમી એકતાનો સંદેશ અપાયો

વલસાડના ઇસ્ટ યાર્ડ વિસ્તારમાં મીરલ ગ્રુપ દ્વારા મુસ્લિમ બિરાદરો માટે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાન માસના પવિત્ર 25માં રોઝા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાંજના સમયે મગરીબની અઝાન પૂર્વે ઉપસ્થિત તમામ બિરાદરોએ સાથે મળીને દુઆ માંગી હતી. ત્યારબાદ સૌએ રોઝા ખોલ્યા હતા. ઇફતારીમાં ફ્રૂટ્સ, શરબત અને વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. મીરલ ગ્રુપ દ્વારા દર વર્ષે સામાજિક અને ધાર્મિક સદ્ભાવના વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો તહેવારોના માધ્યમથી લોકોને એકબીજાની નજીક લાવવામાં મદદરૂપ થાય છે અને કોમી એકતાનો સંદેશ આપે છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને મીરલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઇફતારી બાદ તમામ બિરાદરોએ ગ્રુપની આ પહેલને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:01 am

લોકાર્પણના એક અઠવાડિયામાં ડુમસ સી ફેસમાં ગંદકી:લોકજાગૃતિ માટે સુરત પાલિકાએ સ્પેશિયલ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવું પડ્યું

સુરત શહેરના મનોરંજન અને પ્રવાસન ક્ષેત્રે એક નવું છોગું ઉમેરાયું છે, ડુમસ સી-ફેસ 8 માર્ચ 2026ના રોજ જ્યારે આ ભવ્ય પ્રોજેક્ટને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ ઉત્સાહની સાથે નાગરિક શિસ્તનો અભાવ પણ જોવા મળ્યો, જેના પરિણામે લોકાર્પણના એક જ અઠવાડિયામાં આ સુંદર સ્થળ કચરાપેટીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લેતા સુરત મહાનગરપાલિકાના કમિશનરે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાનના આદેશ આપ્યા છે. લોકાર્પણના પ્રથમ અઠવાડિયામાં જ ગંદકી8 માર્ચના રોજ ડુમસ સી-ફેસના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને સંબોધતા અત્યંત ભાવુક અને મક્કમ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કરોડોના ખર્ચે સુવિધાઓ ઉભી કરી શકે છે, પરંતુ તેની જાળવણી રાખવી એ નાગરિકોના હાથમાં છે. તેમણે ખાસ કરીને પાનની પિચકારી મારીને દીવાલો ગંદી ન કરવા અને પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેંકવા વિનંતી કરી હતી. તેમ છતાં, લોકાર્પણના પ્રથમ અઠવાડિયામાં જ આ અપીલની અવગણના થતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ગંદકીના વીડિયો વાયરલ થયાઆ શનિવારે હજારોની સંખ્યામાં લોકો ડુમસ સી-ફેસની મુલાકાતે ઉમટી પડ્યા હતાં. લોકોના ભારે ધસારાને કારણે ખાણી-પીણીની લારીઓ અને સહેલાણીઓ દ્વારા ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કપ, પ્લેટ્સ અને એઠવાડને કારણે સી-ફેસની સુંદરતા પર ગ્રહણ લાગ્યું હતું. ગંદકીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં જાગૃત નાગરિકોએ તંત્ર અને બેજવાબદાર લોકો સામે રોષ ઠાલવ્યો હતો. SMCએ સફાઈ અભિયાન ચાલુ કરવું પડ્યુંસુરત મહાનગરપાલિકાના કમિશનરની સીધી સૂચના મુજબ ડુમસ સી-ફેસ ખાતે એક મોટી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ માત્ર સફાઈ પૂરતી સીમિત ન રહેતા 'જનજાગૃતિ' લાવવા પર વધુ કેન્દ્રિત હતી. 70થી 80 જેટલા લોકોએ મહેનત કરીને સી-ફેસને ચમકાવ્યોઆ કામગીરીમાં સુરત મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા હતા. અઠવા ઝોનના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર અને મુખ્ય આરોગ્ય નિરીક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 12થી 15 જેટલા સુપરવાઈઝરોએ સ્થળ પર રહીને મોનિટરિંગ કર્યું હતું અને સુરતના 5 અલગ-અલગ ઝોનની બિન-સરકારી સંસ્થાઓ NGOની ટીમો સ્વયંસેવક તરીકે જોડાઈ હતી. અંદાજે 70થી 80 જેટલા લોકોએ સતત મહેનત કરીને સી-ફેસને ચમકાવ્યો હતો. સ્પીકર લગાવી લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યાકચરો ઉપાડવાથી સમસ્યાનો અંત આવતો નથી તેથી SMCએ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે સફાઈ કામદારોએ ફરવા આવેલા લોકોને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં કેમ નાખવો જોઈએ તેની પ્રત્યક્ષ સમજ આપી હતી. મોટા સ્પીકર લગાવી લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને જ્યાં ત્યાં કચરો ન નાખવા અપીલ કરવામાં આવી હતી સૂત્રો દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સાથે આરોગ્યની દ્રષ્ટિએ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે સૂકો શનિવાર અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. જાહેર સ્થળો પર પાણીનો ભરાવો ન થાય અને સફાઈ જળવાય તે માટે ભાર મૂકવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:51 am

રાજકોટમાં સાયબર માફિયાઓનો આતંક:નેટ બેન્કિંગનાં માધ્યમથી રૂ. 19,99,400 ની છેતરપિંડી, સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ સાગરીતોને દબોચી લીધા, રૂ. 7,44,400ની રકમ પરત અપાવી

રાજકોટમાં સાયબર ફ્રોડમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ફ્રોડની ઘટના સામે આવી હતી. જેમાં રૂ. 19,99,400 ની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી લઈ રૂ. 7,44,400 ની રકમ રિકવર કરી છે. હાલ પોલીસે બાકીની રકમ રિકવર કરવા સહિતના મામલે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. ડિજિટલ યુગમાં સામાન્ય માણસની મહેનતની કમાણી હડપ કરવા માટે સાયબર ગઠિયાઓ અવનવા કીમિયા અપનાવતા હોય છે. રાજકોટમાં બનેલી આ ઘટનામાં પણ ભેજાબાજ ગુનેગારોએ ફરિયાદીના બેંક ખાતાને નેટ બેન્કિંગના માધ્યમથી હેક કરી લીધું હતું. અને કોઈને ગંધ સુધ્ધાં ન આવે તે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી, આ ઠગબાજોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી રૂ. 19,99,400 ની મત્તા સેરવી લીધી હતી. જ્યારે ફરિયાદીને આ બાબતની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી આ મામલે 3 શખ્સોના લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમોએ દરોડા પાડીને ઉના અને રાજકોટના વિસ્તારોમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 43 વર્ષીય વિનોદભાઈ તારાચંદ ભોજવાણી (રહે. ઉના, જી. ગીર સોમનાથ), 24 વર્ષીય યશભાઈ પ્રફુલભાઈ જાદવ (રહે. વર્ધમાન નગર, રાજકોટ) અને 20 વર્ષીય મહમ્મદદાનિશ મોહમ્મદસિદ્દિક સિપાઈ (રહે. બાપુનગર, રાજકોટ) નો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં વિનોદ ભોજવાણી નામના આરોપીના ખાતામાં ફ્રોડના નાણાં જમા થતા હતા અને તે નાણાં ઉપાડીને અન્ય સુધી પહોંચાડતો હતો. જ્યારે યશભાઈ જાદવ નાણાંની હેરફેરીમાં મદદ કરવા બદલ કમિશન મેળવતો હતો. મહમ્મદદાનિશ પણ આ નાણાંની લેવડદેવડમાં સક્રિય રીતે સંકળાયેલો હતો અને તેને આ છેતરપિંડીના નાણાંમાંથી હિસ્સો પણ મળ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે પ્રાથમિક તબક્કે રૂ. 7,44,400 રિકવર કર્યા છે અને ટોળકીના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. સાયબર ફ્રોડથી બચવા માટેની સાવચેતી વધતા જતા સાયબર અપરાધો વચ્ચે નાગરિકોએ ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે. તમારા બેંક ખાતા કે નેટ બેન્કિંગની વિગતો, યુઝર આઈડી, પાસવર્ડ કે મોબાઈલ પર આવતો OTP ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરવો જોઈએ નહીં. લોભામણી લિંક્સ કે અજાણ્યા સોર્સ પરથી આવતા મેસેજથી દૂર રહેવું. જો તમારા ખાતામાંથી અનધિકૃત રીતે નાણાં કપાઈ જાય, તો વિલંબ કર્યા વગર તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી, જેથી સમયસર નાણાં બ્લોક કરી શકાય અને છેતરપિંડીથી બચી શકાય છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:43 am

ભાજપ આદિજાતિ મોરચામાં વલસાડના બે નેતાને સ્થાન:મહેન્દ્ર ચૌધરી પ્રદેશ મહામંત્રી, વિલાસ વારલી મંત્રી બન્યા

ભાજપના આદિજાતિ મોરચાના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લાના બે નેતાઓને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ધરમપુરના મહેન્દ્રભાઈ ચૌધરીને પ્રદેશ મહામંત્રી અને વલસાડના વિલાસભાઈ વારલીને પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વલસાડ પ્રવાસના બે દિવસ બાદ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથેની ચર્ચા બાદ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. મહેન્દ્રભાઈ ચૌધરી ધરમપુર તાલુકામાં ભાજપના પાયાના કાર્યકર્તા અને મણીભાઈ ચૌધરીના પુત્ર છે. તેઓ આદિવાસી સમાજ માટે કન્યા આશ્રમ શાળા બનાવી વિદ્યાર્થીનીઓ માટે સેવાકીય કાર્યો કરતા રહ્યા છે. ભાજપ માટે તેમની સમર્પિત સેવા નોંધનીય છે. વલસાડ જિલ્લાના અન્ય અગ્રણી કાર્યકર વિલાસભાઈ વારલીને પણ પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિમણૂકથી જિલ્લાના સંગઠનમાં પ્રભાવ વધ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. લાંબા સમયથી સંગઠનમાં સક્રિય રહી આદિવાસી સમાજમાં મજબૂત પકડ ધરાવતા મહેન્દ્રભાઈ ચૌધરીને પ્રદેશ કક્ષાએ મહત્વનું પદ મળતા દક્ષિણ ગુજરાતના સંગઠનને નવી દિશા મળશે તેવી ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં દક્ષિણ ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું છે. આ નિમણૂકો આગામી સમયમાં આદિજાતિ વિસ્તારોમાં સંગઠનાત્મક કામગીરીને વેગ આપવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ભાજપે વલસાડ જિલ્લાના પ્રતિનિધિઓને પ્રદેશ માળખામાં સ્થાન આપી આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરવાનો સંકેત આપ્યો છે. વલસાડ જિલ્લાના બે નેતાઓને પ્રદેશ સ્તરે સ્થાન મળતા ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધરમપુર સહિતના વિસ્તારોમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આ વરણીને વધાવી લીધી હતી. સોશિયલ મીડિયા પર પણ બંને નેતાઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:14 am

સ્કૂલ બાદ ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી:પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, અમદાવાદમાં સગીરોના મારામારીના બનાવોમાં વધારો

અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસે છરી મારનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીજા રૂમમાં બેસવાનું કહેતાં ઝઘડો થયોઅમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં હીરાવાડી નજીક 17 વર્ષીય સગીર તેના પરિવાર સાથે રહે છે અને ભગવતી વિદ્યાલય બાપુનગર ખાતે ધો. 11માં અભ્યાસ કરે છે. બાપુનગર વિસ્તારમાં પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે જાય છે. સ્કૂલમાં જ સાથે અભ્યાસ કરતો અન્ય એક વિદ્યાર્થી પણ આ જ ટ્યુશન ક્લાસમાં સાથે અભ્યાસ કરે છે. 15 માર્ચના રોજ સગીર ટ્યુશન ક્લાસીસમાં ગયો હતો ત્યારે તેના રૂમમાં જગ્યા ન હોવાથી તેના સાથી વિદ્યાર્થીને તેણે બીજા રૂમમાં જવાનું કહ્યું હતું જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. છરો કાઢીને પેટના ડાબા ભાગે મારી દીધોબંને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, ત્યારે બપોરના સમયે જ્યારે સગીર હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલા ભોમિયા ડેરી પાસે ઉભો હતો ત્યારે તેનો સાથી વિદ્યાર્થી મિત્ર આવ્યો હતો અને ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી બીજા રૂમમાં કહેવા બાબતે થયેલી બોલા ચાલીને લઈને તેના પાસે રહેલો છરો કાઢ્યો હતો અને પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો. ઈજાગ્રસ્તને સાથી અન્ય મિત્ર રીક્ષામાં લઈ ગયોજેથી બૂમાબૂમ થઈ હતી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને છરી મારનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સગીર સાથે ઉભેલો તેનો બીજો મિત્ર તેને રીક્ષામાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે. આ બાબતે બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપી સગીર અંગે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો શું હતો સેવન્થ-ડે સ્કૂલનો સમગ્ર મામલો? 19 ઓગસ્ટ, 2025ના દિવસે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના CCTV સામે આવ્યા હતાં. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 કલાકે નયનને જ્યાં ઇજા પહોંચી એ પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે. આ પણ વાંચો... 'સેવન્થ ડે'ની પોલ ખોલતો વીડિયો, લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો, પહેલીવાર સામે આવ્યા CCTV જોકે થોડીવાર બાદ નયન ઢળી પડતાં આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે. આ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવી નહોતી અને લોકો ત્યાં ઊભાં ઊભાં માત્ર બધું જોઈ રહ્યા હતા. ત્યાર બાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતાં પણ જોવા મળી રહ્યાં છે. આ ઘટનામાં સ્કૂલની બેદરકારી હોવાનું જણાવી વાલીઓએ રોષે ભરાઈને વિરોધ નોંધાવી સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટના બાદ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાથીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 ઓક્ટોબરે ધો.10 અને 12ના વિદ્યાથીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો આ પણ વાંચો: સ્ટુડન્ટના પેટમાં છરી નહીં, ફિઝિક્સનું સાધન ભોંક્યું: નજરે જોનારનો દાવો આ પણ વાંચો: સ્કૂલ સ્ટાફને માર મારી બેફામ તોડફોડ, સેવન્થ ડે સ્કૂલના ધો.8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટની હત્યા કરતા સ્થિતિ વણસી હતી અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના, CCTV અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની છે. 19 જાન્યુઆરી સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની બહેને આક્ષેપ કર્યા છે કે, ભાઈને માથામાં વધારે વાગ્યું છે, પણ સ્કૂલે પટ્ટી પણ સરખી બંધાવી નથી. જો તેના મિત્રએ છરી ન પકડી હોત અને મર્ડર થયું હોત તો શું કરત? (વાંચો સંપૂર્ણ સમાચાર) નવસારીની SGM સ્કૂલની બહાર થઈ અમદાવાદવાળી; એક વિદ્યાર્થી કાતર લઈ તૂટી પડ્યો 26 નવેમ્બર, 2025ના નવસારીની SGM સ્કૂલની બહાર આજે અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે. જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જે દરમિયાન એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી હતી. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, SGM શિરોયા સ્કૂલના ચાર-પાંચ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર ભેગા થયા હતા. શરૂઆતમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઝઘડા દરમિયાન, એક વિદ્યાર્થીએ મોપેડ પર બેઠેલા અન્ય વિદ્યાર્થીને માથામાં ટપલી મારી હતી. ત્યારબાદ બંને વચ્ચે મારામારી શરૂ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા બીજા વિદ્યાર્થીને હાથ અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:11 am

સોમનાથ મંદિર પર જાકળની ચાદર છવાઈ:ગીરસોમનાથમાં વાતાવરણ પલટાતા વહેલી સવારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા

ગીરસોમનાથમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર જાકળની ગાઢ ચાદર છવાઈ ગઈ હતી. વહેલી સવારે ધુમ્મસના કારણે મંદિર પરિસરમાં અદ્ભુત અને મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકોએ પણ સોમનાથ દાદાના જાકળભર્યા દર્શનનો લાભ લીધો હતો. આ અસામાન્ય વાતાવરણથી દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ પ્રભાવિત થયા હતા. સામાન્ય રીતે આવા સમયે સોમનાથ ખાતે આટલી ગાઢ જાકળ જોવા મળતી નથી. વાતાવરણમાં આવેલા આ એકાએક પલટાને કારણે વહેલી સવારે સોમનાથ દાદા જાણે ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:04 am

રમઝાનમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ, VIDEO:ઝાંપાબજારમાં મસ્જિદમાં જવા માંગતાં રિક્ષાચાલક અને પાડોશી વચ્ચે થયેલાં પાર્કિગના ઝઘડાએ ઉગ્ર રૂપ લીધું, અંતે સમાધાન

સુરતમાં રમઝાન માસમાં ઝાંપાબજાર, કુંભારવાડમાં આવેલી મસ્જિદમાં જવા માંગતાં રિક્ષાચાલક અને પાડોશી વચ્ચે થયેલાં પાર્કિગના ઝઘડાએ રાત્રે ઉગ્ર રૂપ લીધું હતું. મુસ્લિમ સમાજના બે ટોળાં સામસામે આવી જતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. મામલો વધુ બગડે નહિ તે માટે પોલીસે કાફલો પણ તહેનાત કરી દીધો હતો. રિક્ષા પાર્કિંગને લઈ બોલાચાલી બાદ મામલો બિચક્યોકુંભારવાડામાં મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે રાત્રે રિક્ષા લઈને આવેલાં એક યુવકે કરેલા પાર્કિંગને લઈ મામલો બિચક્યો હતો. રિક્ષા પાર્કિંગને લઈ આ ચાલક સાથે મસ્જિદની સામે રહેતાં એક શખ્સનાં પુત્રની બોલાચાલી થઈ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝઘડા દરમિયાન રિક્ષાચાલકને પણ ઈજા થયાની વાતો ફેલાતાં બે જૂથનાં ટોળાં ભેગા થઇ ગયા હતા. ટોળું ત્યાં ભેગું થઈ હંગામો કરતું હોઈ કોઈએ પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળું વિખેર્યુંબે જૂથ વચ્ચે મારામારીની ઘટનાનો કોલ મળતાં મહીધરપુરા પોલીસની ટીમ ત્યાં ધસી ગઇ હતી. પોલીસની વોર્નિંગ બાદ પણ ટોળું હટવા તૈયાર નહિ હોઈ પોલીસને ઘટનાસ્થળ સુધી જવામાં અડચણ ઉભું કરતું હોઈ પોલીસે હળવો લાઠીચાર્જનો સહારો લીધો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાંને વિખેરી નાંખી પરિસ્થિત પર કાબુ મેળવ્યો હતો. મામલો વધુ નહિ બગડે તે માટે પોલીસ અધિકારીઓ પણ ત્યાં ધસી ગયા હતા અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી. સોશિયલ મીડિયામાં અફવાઓપોલીસના લાઠીચાર્જ બાદ મામલો સંપૂર્ણ પણે શાંત થઈ ગયો હતો. જોકે દોડાદોડી અને ધીંગાણામાં માટલા વેપારીઓનાં માટલાં અને બીજી સામગ્રી તૂટી જતાં તેમને નુક્સાન થયું હતું. કેટલાંકને આ તૂટેલાં માટલાઓની ઇજા પણ થઈ હતી. રમઝાન માસમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે થયેલાં ઝઘડાએ શહેરમાં ચર્ચા અને અફવા બંનેને વેગ આપવાનું કામ કર્યું હતું. સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈ અલગ અલગ પ્રકારની અફવાઓ ચાલી હતી. પોલીસે એક યુવકને ડિટેઇન કર્યોમહિધરપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે, પાર્કિંગને લઇ મસ્જિદ સામે રહેતાં એક શખ્સનાં પુત્રોએ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ સાથે યુવક અને કેટલાંક લોકો મહિધરપુરા પોલીસ મથકે આવ્યા હતા. પોલીસ આ યુવકને લઇને માર મારનાર શખ્સના ઘરે પહોંચી હતી. અહીં યુવકને ડિટેઇન કર્યો તે સાથે જ અહીં ભેગાં થયેલાં એક જૂથે આ યુવકને માર મારવાના ઇરાદે ઘર્ષણ કરવા લાગ્યા હતા. પરિવાર સાથે મારામારીનો પ્રયાસ થતાં પોલીસે બળપ્રયોગ કર્યોપોલીસની હાજરીમાં આ પરિવાર સાથે મારમારી કરવાની કોશિશ થતાં પોલીસે લાઠીચાર્જનો સહારો લેવો પડયો હતો. પોલીસના લાઠીચાર્જ બાદ ટોળું વિખેરાઇ ગયું હતું અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઇ છે. લોકોએ અફવા પર ધ્યાન નહિ આપવા પણ પોલીસે અપીલ કરી હતી. બંને પૈકી એક પણ પક્ષ ફરિયાદ કરવા નહિ માંગતું હોઇ કોઇ પણ ગુનો નોંધાયો ન હતો. બંને પક્ષ વચ્ચે સમાધાનપોલીસ બંને પક્ષોને મહિધરપુરા પોલસ મથકે લઇ આવી હતી. પોલીસની પાછળ બંને પક્ષના આગેવાનો પણ પોલીસ મથકે દોડી ગયા હતા. મારમારીને લઇ બંને પક્ષના આગેવાનોએ ખેદ વ્યક્ત કરી મધ્યસ્થી બાદ બંને પક્ષોએ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. કોઇ કાર્યવાહી નહિ કરવા માંગતા હોવાનું ઝઘડામાં સામેલ બંને પક્ષોએ ફરિયાદ નહિ કરવા માંગતા હોવાનું લખાણ કરી આપી સમાધાન કરવા માંગતા હોવાનું જણાવ્યું હતું. સમાધાન બાદ બંને પક્ષો પોલીસ મથકમાંથી વિદાય થયા હતા. તે સાથે જ પોલીસ મથકે ભેગું થયેલું ટોળું પણ ત્યાંથી વિખરાઇ ગયું હતું. પોલીસે ઘટનાનું પુનરાવર્તન નહિ થાય તે માટેનું કાયમી સમાધાન શોધવા પણ સમજાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:01 am

કાલોલ ગેંગડિયા ચોકડી પાસે બાઇક સ્લીપ:માતા-પુત્ર ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં દાખલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. કાલોલની ગેંગડિયા ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘોઘંબાના રહેવાસી અશોકભાઈ પરમાર તેમની માતા લીલાબેન સાથે બાઇક પર વેજલપુર ખાતે તેમના માસીના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગેંગડિયા ચોકડી પાસેથી પસાર થતી વખતે અચાનક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતમાં બાઇક ચાલક અશોકભાઈને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે તેમની માતા લીલાબેનને મોઢાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમણે ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 8:57 am

ડિકેબીન અંડરપાસ પાસેનો 500 મીટર રોડ ધૂળિયો બન્યો:ચંદ્રભાગા નાળા રીડેવલોપમેન્ટની કામગીરીમાં AMC કોન્ટ્રાક્ટરની બેદરકારી!, કમિશનરની સૂચનાનો ઉલાળ્યો

અમદાવાદ શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં લાવવા માટે મીટીંગો કરીને અધિકારીઓને જો આ પ્રેક્ટિસનો અમલ ન કરે તો તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામોના જ કોન્ટ્રાક્ટરો દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસનો અમલ કરવામાં આવતો નથી. અમદાવાદ શહેરના ડિકેબિનથી વાડજ ચંદ્રભાગાના નાળા સુધીના રીડવલપમેન્ટની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર માટી ઉડાડવાથી લઈને તેમના આરએમસી પ્લાન્ટના કારણે આખો વિસ્તાર પ્રદૂષિત થયો છે. 24 કલાક આ રોડ ઉપર માટી ઉડતી હોય છે જેના કારણે થઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ખૂબ જ હાલાકી પડે છે. અધિકારીનો લૂલો બચાવ કરતો જવાબમ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી રાકેશ બોડીવાલાએ જણાવ્યું હતું કે, ચંદ્રભાગા નાળાના રી ડેવલપમેન્ટની કામગીરી બે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. જેમાં ડીકેબીનથી કાળી ગામ સુધી સુધાકર અને કાળીગામથી વાડજ સુધી પી.દાસ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ડી કેબીનથી નવા રેલવે અન્ડરપાસ સુધી કામગીરી દરમિયાન ધૂળ ઉડતી હોય કે રોડ ઉપર માટી હશે તો આ બાબતે હું તપાસ કરાવી લઉં છું. ખુલ્લેઆમ RMC પ્લાન્ટ,માટી ને ધૂળિયો રસ્તોમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નાળા બંધ કરવામાં આવી રહ્યા છે. ચંદ્રભાગાનું નાળામાં બંધ કરવા માટે ડીકેબિન અંડરપાસથી કાળીગામ સુધીના નાળાની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ડિકેબીન અંડરપાસથી કાળીગામના નવા બનાવેલા રેલવે અન્ડર પાસ સુધીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે, તેમાં 500 મીટરનો રોડ ધૂળવાળો કરી નાખવામાં આવ્યો છે. બંને અંડરપાસ વચ્ચેના રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ધૂળ ઉડવાનો સામનો કરવો પડે છે ખાસ કરીને રેલ્વે યાર્ડની ઓફિસ પાસે કોન્ટ્રાક્ટરને ખુલ્લેઆમ RMC પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે અને ત્યાં જ બધી માટી રાખવામાં આવી છે જેના કારણે થઈને ધૂળ ઊડી રહી છે. ગુડ કન્સ્ટ્રક્શન સાઈટ પ્રેક્ટિસનો અમલ કરવા કમિશનરની સૂચનાનો ઉલાળ્યો આખો નવો રેલવે અંડર પાસ પણ ધૂળથી ભરાઈ ગયો છે. રોજની ખૂબ મોટી સંખ્યામાં ધૂળ ઉડે છે અને જો આ વિસ્તારમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ માપવામાં આવે તો 500થી પણ ઉપર જાય એટલી ખરાબ સ્થિતિ આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીના કારણે થઈ રહી છે. એક તરફ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર ગુડ કન્સ્ટ્રક્શન સાઈટ પ્રેક્ટિસનો અમલ કરવા માટેની સૂચના આપી રહ્યા છે. પરંતુ ખુદ તેમના જ કોન્ટ્રાક્ટરો આ પોલીસીનો અમલ કરી રહ્યા નથી. સામાન્ય જો ગ્રીન નેટ ના લગાવી હોય અથવા તો પાણી રોડ ઉપર છાંટવામાં ન આવ્યું હોય તો સાઈડના સીલ કરવાથી લઈ મોટો દંડ કરવામાં આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરની સાઈટને સીલ કરી દેવામાં આવશે કે તેને ખૂબ મોટો દંડ કરાશે તેને લઈને સવાલ છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 8:46 am

ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10ના મોતની આશંકા

Odisha SCB Hospital Fire News : ઓડિશાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે જ અહીં SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગમાં લગભગ પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.

ગુજરાત સમાચાર 16 Mar 2026 7:30 am

4000 કર્મચારીઓએ જ એર ઈન્ડિયામાં આચર્યું કૌભાંડ, પરિજનોના નામે ફ્રી ટિકિટો લઈ ઊંચા ભાવે વેચી મારી

Air India Scam News : એર ઈન્ડિયાના આશરે ચાર હજાર કર્મચારીઓએ કંપનીની એમ્પલોયી લેઝર ટ્રાવેલ (ઈએલટી) પોલિસીનો ગેરલાભ લઈ પરિવારજનોને નામે ફ્રી ટિકિટ મેળવી ત્રાહિત લોકોને ઊંચા ભાવે વેચી દઈ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ એર ઈન્ડિયાએ કસૂરવાર કર્મચારીઓ પાસેથી રિફંડ મેળવવાનું તથા તેમને જંગી દંડ ફટકારવાનું શરુ કર્યુું હોવાનું કહેવાય છે. એરલાઈન દ્વારા હાથ ધરવામાં આવેલી વિગતવાર આંતરિક તપાસ બાદ આ ગેરરિતીઓ પ્રકાશમાં આવી હતી. આ તપાસમાં સ્ટાફના સભ્યો દ્વારા ઈએલટી સુવિધાના ઉપયોગમાં મોટા પાયે વિસંગતાઓ જોવા મળી હતી.

ગુજરાત સમાચાર 16 Mar 2026 7:17 am

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

Weather News : ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. દેશની રાજધાની દિલ્હીમાં સવારે હળવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં સવારે 8:30 વાગ્યા સુધીમાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. હવામાન નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ પશ્ચિમ હિમાલય તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે મધ્ય પાકિસ્તાન, પંજાબ અને હરિયાણામાં વાવાઝોડાની શક્યતા છે.

ગુજરાત સમાચાર 16 Mar 2026 7:14 am

મુસાફરી બનશે સુગમ:ભચાઉ-ખડીર વચ્ચેનું અંતર 80 કિમી ઘટશે એકલ-બાંભણકા માર્ગમાં માટી-મેટલ કામ પૂર્ણ

ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારને તાલુકા મથક સાથે સીધો જોડવા અત્યંત મહત્વપૂર્ણ એવા એકલ-બાંભણકા રોડનું નિર્માણ કાર્ય બે વર્ષથી ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના આ પ્રોજેક્ટની 60 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં આ રસ્તો બીજા રોડ ટુ હેવન તરીકે પણ પ્રચલીત છે. હાલમાં અહીં માટીકામ અને મેટલકામ પુર્ણ થયું છે અને ડામર કામ હવે શરૂ થશે. રણમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા હોવાથી ત્યાં પુલનું કામ બાકી છે. સંભવત ચાલુ વર્ષમાં કામ પુર્ણ થતા ખડીરના 11 ગામોના લોકો, પ્રવાસીઓ અને સરહદ પર તૈનાત સુરક્ષાકર્મીઓ માટે મુસાફરી સુગમ બનશે. આ અંગેની વિગતો મુજબ, હાલમાં ખડીર બેટના રહેવાસીઓને ભચાઉ આવવા માટે રાપર તાલુકામાંથી પસાર થઈને આશરે 150 કિમીનું અંતર કાપવું પડે છે. આ નવી મિસિંગ લિંક તૈયાર થવાથી આ અંતર ઘટીને માત્ર 80 કિમી થશે. ખડીર વિસ્તારના ગામોના સામાજીક વ્યવહાર ભરૂડીયા- ચોબારી સાથે હોઇ હાલે રાપર, ભચાઉ થઈ આશરે 180 કીમીના અંતરથી પ્રવાસ કરે છે. વર્ષ 2006-07 માં આ રસ્તાના કામ માટે ગુજરાત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી જોકે, ઘુડખર અભયારણ્ય અને વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સના કારણે કામ અટકેલું હતું. છેવટે 2018માં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફ દ્વારા વન્ય જીવોને નુકસાન ન થાય તેવી શરતો સાથે આ પ્રપોઝલ માન્ય રખાઈ જે બાદ કામ શરૂ કરાયું હતું આ રસ્તા માટે રૂ. 127.43 કરોડથી વધુની ટેકનિકલ મંજૂરી મળી હતી. જે બાદ ફેબ્રુઆરી 2024માં વર્કઓર્ડર અપાયો હતો. રસ્તો રણ વિસ્તાર અને વોટરલોગ્ડ એરિયામાંથી પસાર થતો હોવાથી જમીનથી 1.40 મીટરની ઊંચાઈ પર બનાવાઈ રહ્યો છે. આ સિંગલ પટ્ટી માર્ગો ડબલ લેન બને તો સોનામાં સુગંધ ભળેએકલ-બાંભણકા રસ્તાની સાથે સ્થાનિકોએ જણાવ્યું કે અન્ય સિંગલ પટ્ટી રોડ ડબલ લેન બનાવી આપવામાં આવે તો વિશેષ ફાયદો થાય તેમ છે. જેમાં હાલમાં જનાણથી બાંભણકા વચ્ચે 3 કિલોમીટર અને એકલથી ભરૂડિયા વચ્ચે 5 કિલોમીટરનો સિંગલ પટ્ટી ડામર રોડ છે. જો આ માર્ગને ડબલ લેન કરાય તો પ્રવાસીઓનો સમય અને ઇંધણ બંને બચી શકે તેમ છે. માર્ગ પરિવર્તનની આ યોજનામાં ભરૂડિયાથી કુડા સુધીના 5 કિલોમીટરના સિંગલ રોડ સાથે રવેચીનગર (ભરૂડિયા) થી રામવાવ આધોઈ ફાટક સુધીના આશરે ચારથી પાંચ કિલોમીટરના જૂના ગાડા માર્ગને નવો ઓપ આપવામાં આવે તો ભરૂડિયા ગામ બાયપાસ થઈ શકે તેમ છે ઉપરાંત એકલ માતાજીથી સુવઈ થઈ રાપર જતો 25 કિલોમીટરનો સિંગલ પટ્ટી માર્ગ જો ડબલ લેન કરાય તો રાપર અને ધોળાવીરા વચ્ચેનું અંતર પણ 20 કિલોમીટર જેટલું ઘટી જશે તેમ ભૌગોલિક જાણકારો જણાવી રહ્યા છે. માર્ગોના આયોજનબદ્ધ કામો પૂર્ણ થવાથી ધોળાવીરાથી રાપર થઈ અમદાવાદ જવાનું અંતર જે 370 કિલોમીટર અને રાજકોટનું અંતર 270 કિલોમીટર છે તેમાં 40 કિલોમીટરનો ઘટાડો નોંધાશે. ઘડુલી-સાંતલપુર રસ્તો કાર્યરત હોતાં લખપત, હાજીપીર અને ખાવડા તરફથી આવતા પ્રવાસીઓ ડાયરેક્ટ ધોળાવીરા થઈ સીધા અમદાવાદ તરફ જઈ શકશે. આ રીતે 160 કિમીનું અંતર 80 કિમીમાં ફેરવાયું આ રસ્તો બંધ હતો ત્યારે લોકોને તાલુકા મથક જવું હોય તો ભચાઉ - સામખીયાળી - ચિત્રોડ-રાપર - જનાણ - ધોળાવીરા એમ 160 કિલોમીટર રસ્તાનો ઉપયોગ કરવો પડતો.હાલમાં માર્ગનું કામ ચાલુ છે અને વાહનવ્યવહાર પણ ચાલુ છે જેમાં ભચાઉ - કુડા - ભરૂડિયા - એકલ- બાભણકા (રણ) - જનાણ (ગઢડા) - ધોળાવીરા માર્ગ બની રહ્યો છે જે 80 કિલોમીટરનો છે. ઇતિહાસ ઘણો જૂનો : 1984-85 સુધી અહીં એસટી બસ દોડતીઆ રસ્તાનો ઈતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 1984-85 સુધી આ માર્ગ પર એસટી બસ સેવા કાર્યરત હતી, પરંતુ ત્યારબાદ રણના આ કાચા માર્ગ પર અવરજવર મુશ્કેલ હતી. એકલ-બાંભણકા રણમાં હયાત માટી કામવાળા રસ્તા પર વર્ષ 1983-84 અને 1985-86માં અછત રાહતકામ હેઠળ માટી કામ પણ થયેલ છે. અને અછત સેફ સ્ટેજમાં નાળા પુલીયાની કામગીરી પણ થઇ છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:35 am

ભીમાસર ગામના વિકાસની કલગીમાં નવું છોગું ઉમેરાયું:કચ્છમાં ગ્રામ્ય સ્તરે પ્રથમ મોડેલ શાક માર્કેટ કાર્યરત

રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ મેળવી ચૂકેલા અંજાર તાલુકાના ભીમાસર ગામના વિકાસની કલગીમાં આજે વધુ એક છોગું ઉમેરાયું છે. ભીમાસર ગ્રામ પંચાયતે સરકારી ગ્રાન્ટની રાહ જોયા વગર પોતાના સ્વભંડોળમાંથી અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી ભવ્ય અને આધુનિક શાક માર્કેટનું રવિવાર 15 માર્ચના લોકાર્પણ કરાયું હતું. કચ્છમાં ગ્રામ્ય કક્ષાએ આ પ્રકારની પ્રથમ વિશાળ અને સુવિધાજનક શાક માર્કેટ બનાવીને ભીમાસરે સમગ્ર ગુજરાતમાં એક નવો રાહ ચીંધ્યો છે. આ શાક માર્કેટના સ્વપ્નદ્રષ્ટા અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ, સરપંચ ડાઈબેન હરેશ હુંબલ તથા પંચાયતના હોદ્દેદારોના હસ્તે રીબીન કાપી અને તકતીનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે રાધે કૃષ્ણા મંદિરના પૂજારી સુનીલ શાસ્ત્રી દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી. આ માર્કેટમાં 50 જેટલા પાકા થલ્લા અને છૂટક ફેરિયાઓ માટે ખાસ હોકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે. પંચાયત દ્વારા નિયમો નક્કી કરી ગામના જ ગરીબ પરિવારો, રેકડીધારકો અને દેવીપૂજક સમાજના નાના વેપારીઓને અગ્રતા આપીને થલ્લા ફાળવણી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના ઉપસરપંચ કંકુબેન જીવાભાઈ બાર, સા.ન્યા. ચેરમેન જોમાબેન ડુંગરિયા, તલાટી એલ.એસ. અસોડા, જીલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ડાંગર, તાલુકા પંચાયત સદસ્ય કુંવરબેન હુંબલ, ગ્રામ પંચાયતના સદસ્યઓ મમતાબેન ઔદીચ્ય, રૂડીબેન જરૂ. કકુબેન હેઠવાડીયા, મઘીબેન કરોત્રા, મોમાયા ડુંગરિયા, રાજેશ ભીલ, બાબુ કારું, શામજી હુંબલ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો હાજરરહ્યા હતા. રેકડી ચલાવવામાંથી મુક્તિ અને ગ્રાહકોને સુવિધાઆ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગામના નાના વર્ગના શાકભાજી વેચતા પરિવારોને રઝળપાટ અને રેકડી ચલાવવામાંથી મુક્તિ આપી એક કાયમી આશ્રયસ્થાન આપવાનો છે. હવે ગામલોકોને એક જ છત નીચેથી તમામ પ્રકારની તાજી શાકભાજી મળી રહેશે, જેનાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેનો સમય અને શક્તિ બચશે. સ્વનિર્ભર પંચાયતનું શ્રેષ્ઠ ઉદાહરણ18થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત ભીમાસર ગ્રામ પંચાયતે ફરી એકવાર સાબિત કર્યું છે કે જો મક્કમ ઈચ્છાશક્તિ હોય તો પંચાયત સ્વભંડોળમાંથી પણ નગરપાલિકા જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરી શકાય છે. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પંચાયતની આ વ્યવસ્થાને બિરદાવી હતી. ભીમાસરની આ ‘મોડેલ શાક માર્કેટ’ હવે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:31 am

કઠોર સાધના:નિઃસ્વાર્થભાવે પરોપકારની પ્રવૃત્તિ કરીને સાધુ માનવજાતના કલ્યાણ માટે કરે છે સતત પરમાર્થ

ભુજ તાલુકાના મિરજાપર-મોચીરાઈ વિસ્તારમાં આવેલા આશાપુરા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણ હેતુ પંચધુણી મહાતપ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા.7/3થી તા.16/4 સુધી ચાલનારા આ અનુષ્ઠાનમાં રાજસ્થાનના જયપુરના ઉદાસીન પંચાયતી બડા અખાડા સંપ્રદાયના સ્વામી ચિતેશ્વરાનંદ દ્વારા કઠોર સાધનામાં કરવામાં આવી રહી છે. જે બાબતે સ્વામી ચિતેશ્વરાનંદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ 2009થી વિવિધ પ્રકારના તપ, આરાધના, અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. હાલે 41 દિવસીય હઠ યોગ તપ કરી રહ્યા છે. જે તેમના ગુરૂઓ દ્વારા ચાલી આવતી પરંપરા અનુસાર વિશ્વ અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે કરાઈ રહ્યું છે. નિઃસ્વાર્થભાવે પરોપકાર કરીને સાધુ માનવજાતના કલ્યાણ માટે સતત પરમાર્થ કરે છે. દરરોજ માત્ર ફળાહાર પર દિવસ વ્યતીત કરતા અને બપોરે 12 થી 3 વાગ્યા સુધીના નિર્ધારિત સમયમાં આ કઠિન તપશ્ચર્યા અને અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. તપ થકી નવી ઉર્જા સર્જાય, આપણી ભૂમિમાં શૂરવીર અને સતી જન્મે, દેશ દુશ્મનોથી સુરક્ષિત રહે તે સાથે વિશ્વના તમામ મનુષ્યનો કલ્યાણ થાય એ ભાવ સાથે અનુષ્ઠાન ચાલતો રહેશે. સ્વામી ચિતેશ્વરાનંદે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સમયાંતરે ઠેર ઠેર એમના દ્વારા ધુણા લગાડવામાં તેમજ તપશ્ચર્યા કરવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં આટલા કઠોર તપ દરમિયાન પડતી તકલીફ બાબતે તેમણે કહ્યું કે તમે જે પ્રકારે શરીરને ઢાળવા ઈચ્છો છો એ પ્રકારે ઢળી જાય છે. તેમની સાથે આશાપુરા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહંત ચંદ્રકાંતગીરી બાપુના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો એમના ભુજના સેવક જયેશભાઈ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:27 am

ફુજૈરાહ હુમલા બાદ ‘જગ લાડકી’ મુન્દ્રા તરફ રવાના:યુએઇના પોર્ટ પર હુમલા વચ્ચેથી ભારતીય ક્રૂડ ટેન્કર ‘જગ લાડકી’ મુન્દ્રા આવવા રવાના

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે અને વૈશ્વિક દરિયાઈ વેપાર પર જોખમ વધી ગયું છે. ત્યારે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના અત્યંત વ્યસ્ત એવા ફુજૈરાહ પોર્ટના ઓઈલ ટર્મિનલ પર શનિવારે ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા વખતે પોર્ટ પર જ રહેલા ભારતીય ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’નો આબાદ બચાવ થયો છે અને હવે આ જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ તરફ રવાના થઈ ચૂક્યું છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર, 14 માર્ચના રોજ જ્યારે ‘જગ લાડકી’ જહાજ ફુજૈરાહના સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ક્રૂડ ઓઈલ લોડ કરી રહ્યું હતું. બરાબર તે જ સમયે ઓઈલ ટર્મિનલ પર ડ્રોન સ્ટ્રાઈક થઈ હતી. હુમલાના કારણે ટર્મિનલની આસપાસ આગ ફાટી નીકળી હતી અને મોટાભાગની લોડિંગ કામગીરીઓ તાત્કાલિક રોકવી પડી હતી. જોકે, આ ભયાનક અને જીવલેણ સ્થિતિ વચ્ચે પણ ભારતીય જહાજનો બચાવ થયો છે. રવિવારે સવારે 10:30 કલાકે (IST), ‘જગ લાડકી’ લગભગ 80,800 ટન મરબન ક્રૂડ ઓઈલ લઈને ફુજૈરાહ પોર્ટ પરથી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે કચ્છના મુન્દ્રા બંદર આવવા રવાના થઈ ચૂક્યું છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે જહાજ પર સવાર તમામ ભારતીય સી-ફેરર્સ (નાવિકો) એકદમ સુરક્ષિત છે. મિડલઇસ્ટમાંથી મોટા ભાગના ભારતીય જહાજો કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરે જ આવશેબીજી તરફ, ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતીય નૌકાદળનું ‘ઓપરેશન એસ્કોર્ટ’ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને આવી રહેલા ભારતના બે મોટા LPG જહાજો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ હાલમાં ઇન્ડિયન નેવીના 3 યુદ્ધજહાજોના કડક સુરક્ષા કવચ હેઠળ ભારત તરફ જ આગળ વધી રહ્યા છે.કુલ 92,700 મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) ભરેલા આ બંને જહાજો 16 માર્ચ, સોમવારે કચ્છના કાંઠે પહોંચી જશે. લેટેસ્ટ સેટેલાઇટ ટ્રેકિંગ મુજબ, ‘શિવાલિક’ સોમવારે વહેલી સવારે મુન્દ્રા પોર્ટ પર અને ‘નંદા દેવી’ સોમવારે રાત્રે કંડલા (દીનદયાળ પોર્ટ) પર લાંગરશે. કચ્છના સ્થાનિક પોર્ટ પ્રશાસન દ્વારા આ વિશાળ કાર્ગોને ખાલી કરવા માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:26 am

ખાંભલા ઓનર કિલિંગ:આરોપી પિતા-ભાણેજ 2 દિવસ રિમાન્ડ પર

નખત્રાણા તાલુકાના ખાંભલામાં પ્રેમ પ્રકરણના કારણે બનેલા ઓનર કિલિંગના બનાવમાં આરોપી પિતા અને તેના ભાણેજને કોર્ટમાં રજુ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.હત્યા બાદ મૃતક યુવકનો ફોન તોડી નજીકમાં ફેકી દેવાયો હતો જે પોલીસે કબ્જે કરી લીધો છે. છેલ્લા બે દિવસથી ચર્ચાસ્પદ બનેલા ખાંભલાના ઓનર કિલિંગના બનાવમાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી.જે બાદ યુવતીની માતાને જેલ હવાલે કરી દેવામાં આવી હતી અને તેના ભાઈને જુવેનાઈલમાં મોકલી દેવાયો હતો. આ મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, રવિવારે આરોપી પિતા વંકા ઉર્ફે રાજા પેના રબારી અને તેના ભાણેજ સોમા ઉર્ફે પબા સામત રબારીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં કોર્ટે બન્ને આરોપીઓના મંગળવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાની તલસ્પર્શી વિગતો બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.પ્રેમી યુગલની હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓએ યુવકનો મોબાઈલ તોડીને નજીકમાં આવેલા થોરના ઝાડમાં ફેંકી દીધો હતો જે પોલીસે કબ્જે કરી લીધો છે. જ્યારે યુવતીનો મોબાઈલ સળગાવી દેવાયો હતો તે કબ્જે કરવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે,ચારેય આરોપીઓએ આયોજન પૂર્વક હત્યાના બનાવને અંજામ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:24 am

કરુણાંતિકા સર્જાઈ:કેરામાં છકડાએ એકટીવાને ટક્કર મારતા 14 વર્ષિય કિશોરનું કરૂણ મોત નીપજ્યું

તાલુકાના કેરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડાની સામે એકટીવા લઈને ઉભેલા કિશોરને પાછળથી આવેલા છકડાએ ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ બળદિયા ગામના 14 વર્ષીય ફારુક કાસમ વેણનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બનાવ 14 માર્ચના સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી કિશોર કેરામાં આવેલ બેંક ઓફ બરોડાની સામે એકટીવા લઈને ઉભેલો હતો.એ દરમિયાન પાછળથી આવેલા છકડાએ તેને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. બનાવ બાદ તેને સારવાર માટે એકોર્ડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે જી.કે.જનરલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે માનકુવા પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:18 am

નગરપાલિકાની મહેકમ શાખા ફરી ચર્ચામાં:મહેકમ શાખામાં સ્ટાફ વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયા ધીમી

નગરપાલિકામાં મહેકમ શાખા ફરી ચર્ચામાં આવી છે. વર્ષોથી આ શાખામાં જરૂરિયાત મુજબ કર્મચારીઓની સંખ્યા ગોઠવવા અને યોગ્ય વહીવટ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. ગત 28 ફેબ્રુઆરીએ હેડ ક્લાર્કની નિવૃત્તિ બાદ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને મહેકમ શાખાની જવાબદારી સોંપાઇ છે. જોકે સૂત્રોના મતે આ પ્રકારની સંવેદનશીલ અને મહત્વપૂર્ણ શાખા અનુભવી કર્મચારીના હાથમાં હોય તો અનેક કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે પાર પડી શકે તેમ જાણકારો કહી રહ્યા છે. પાલિકામાં કેટલાક કર્મચારીઓ નિવૃત્તિ બાદ પણ પગાર લેતા હોવાની ચર્ચા છે, જ્યારે માત્ર રજીસ્ટરમાં નોંધાયેલા પરંતુ કામ પર હાજર ન રહેતા કર્મચારીઓ હોવાની ફરિયાદ પણ છે. સેનીટેશન શાખામાં પાણી, ગટર અને સફાઈ જેવી જરૂરી કામગીરી કરતા કર્મચારીઓ ઓછા અને સુપરવાઈઝરનું પ્રમાણ વધુ હોવાનું કહેવાય છે. પાલિકાના મકાનો ખાલી કરાવવાની પ્રક્રિયા પણ ધીમી છે. ભાડું પણ નિયમિત વસૂલાતું નથી. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હંગામી કર્મચારીઓને છૂટા કરવાની જગ્યાએ તેમને ચાલુ રાખવાની બાબતે પણ પ્રશ્નો ઉઠ્યા છે. નિયમ મુજબ કોઈપણ કર્મચારી નિવૃત્ત થાય તે પહેલાં ત્રણ મહિના અગાઉ તેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ, પરંતુ તેમાં વિલંબ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ 1961થી 1975 વચ્ચે જન્મેલા કેટલાક કર્મચારીઓ હજુ પણ ફરજ બજાવે છે, જ્યારે તેઓ નિવૃત્તિની ઉંમર પાર કરી ચૂક્યા હોવા જોઈએ. આ બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે. ટપાલ સંચાલન બાબતે ચીફ ઓફિસર ખફાપાલિકામાં સરકારી ટપાલોના સંચાલનને લઈને ગડબડ સામે આવતા ચર્ચા ઊભી થઈ છે. અનેક સરકારી પત્રો ડાયરી ક્લાર્ક પાસે જમા થયા હતા અને સંબંધિત વિભાગો કે મુખ્ય અધિકારી સુધી સમયસર પહોંચ્યા નહોતા. આ બાબત ધ્યાનમાં આવતા મુખ્ય અધિકારીએ અઠવાડિયાની શરૂઆતમાં જ ડાયરી ટેબલ સંભાળતા કર્મચારીઓ પાસે મૌખિક ખુલાસો માંગ્યો હોવાનું જાણવા મળે છે. મુખ્ય અધિકારીએ દરરોજની ટપાલ એ જ દિવસે સંબંધિત વિભાગ સુધી પહોંચાડવાની કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:18 am

108ના કર્મીઓ આર્થિક સંકટમાં:સેવા ‘ઈમરજન્સી’માં પણ પગાર ‘વેઈટિંગ’માં, 108ના કર્મીઓ પરેશાન

લાખો લોકોનો જીવ બચાવતી અને જીવાદોરી ગણાતી 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ આજે પોતે જ આર્થિક સંકટમાં મુકાયા છે. દિવસ-રાત જોયા વગર ખડેપગે સેવા આપતા આ કર્મચારીઓને ફેબ્રુઆરી માસનો પગાર અડધો માર્ચ વીત્યો ત્યાં સુધી મળ્યું નથી. કર્મચારીઓએ મેનેજમેન્ટને વિનંતી કરી છે કે તેમનો પગાર દર મહિને નિયત તારીખે કરવામાં આવે, જેથી તેઓ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં સેકન્ડોનો પણ વિલંબ કરતા નથી, પરંતુ કંપની અમારો પગાર કરવામાં દિવસો લગાડી દે છે.” પગાર મોડો આવવાને કારણે મધ્યમ વર્ગીય કર્મચારીઓને ઘરનું ભાડું ચૂકવવામાં, ઘરનું રાશન લાવવામાં અને રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. ઘણા કર્મચારીઓએ લોનના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી ભરવા માટે ઉછીના પૈસા લેવાની નોબત આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની 1700 આશા વર્કર અને 600 નેશનલ હેલ્થ મિશનના કર્મીઓને પણ 2 મહિનાથી પગાર મળ્યો નથી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:16 am

પાલિકાએ સુખાકારીના કામોની યાદી જાહેર કરી:પાલિકાએ અઢી વર્ષમાં વિકાસ કામોની વણઝાર કરી હોવાનો દાવો

આજે 16 માર્ચથી ભુજ નગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં ભુજ નગરપાલિકાની ટીમે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી તેની યાદી બનાવવામાં આવી છે તે મુજબ ગ્રાન્ટનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને વિકાસકામોના કીર્તિમાન સ્થાપિત કર્યા છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા કમલભાઈ ગઢવી તથા દંડક રાજેશભાઈ ગોરના નેતૃત્વ હેઠળ વિવિધ શાખાઓના ચેરમેનો અને નગરસેવકોના સંકલનથી શહેરમાં વિકાસકામોના કામો હાથ ધરવામાં આવ્યા હતા. તેમાં પાણી પુરવઠા વિભાગ હેઠળ શહેરમાં દસ નવા બોર જીવંત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે તેમજ પાણી વિતરણ સુવિધા મજબૂત બનાવવા માટે જેસીબી, ટ્રેક્ટર, છકડા અને અન્ય મશીનરી ખરીદવામાં આવી છે. નર્મદા સિવાય પણ લેર ડેમથી ભુજ સુધી પાણી લાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. અમૃત 2.0 યોજના હેઠળ પાંચ નવા સંપ બનાવવાની કામગીરી પણ ચાલુ છે. તો ડ્રેનેજ વિભાગ દ્વારા શહેરની ગટર સમસ્યાના કાયમી ઉકેલ માટે અંદાજે 70 કિમી લાંબી નવી ડ્રેનેજ લાઇન પાથરવાનું કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત પાંચ નવા પમ્પિંગ સ્ટેશન બનાવવાની યોજના છે. ડોલર હોટેલથી ખાવડા ચોકડી અને કોમર્સ કોલેજથી ત્રિમૂર્તિ મંદિર સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. ગટર લાઇનની સફાઈ માટે રોબોટિક ડિસિલ્ટ મશીન અને જેટિંગ મશીન પણ ફાળવવામાં આવ્યા છે. સેનીટેશન વિભાગ દ્વારા સ્વચ્છતા માટે વિવિધ સાધનો ખરીદવામાં આવ્યા છે. ગાયત્રી મંદિર રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. શહેરમાંથી 40 હજાર મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને લેગસી વેસ્ટ એવા 1,11,622 મેટ્રિક ટન કચરાના નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. રોડ લાઈટ વિભાગ દ્વારા શહેરમાં અંદાજે 1900 નવી સ્ટ્રીટ લાઈટો ખરીદવામાં આવી છે તેમજ કલેકટર કચેરીથી માંડવી ઓક્ટ્રોય સુધી હેરિટેજ લાઈટો લગાવી માર્ગનું સુશોભન કરવામાં આવ્યું છે. હમીરસર તળાવ પાસે ‘થીમ રોડ’ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. બાંધકામ શાખા દ્વારા અંદાજે 35 કરોડ રૂપિયાના વિકાસકામો હાથ ધરાયા છે જેમાં સીસી રોડ, ઇન્ટરલોક, બોક્સ કલ્વર્ટ અને રોડ રિસરફેસિંગનો સમાવેશ થાય છે. નગરપાલિકાની નવી ઓફિસ ‘અટલ ભવન’નું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામો મહત્વપૂર્ણહમીરસર તળાવ પાસે આરોગ્ય પથ, સ્મશાનગૃહ વિકાસ અને વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરટીઓ સર્કલનું નવીનીકરણ કરી ભુજના સ્થાપક રા’બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. છેલ્લા અઢી વર્ષમાં શહેરમાંથી 1500 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે ભુજના નાગરિકોએ મૂકેલા વિશ્વાસને સાચવવા માટે ટીમે સંપૂર્ણ નિષ્ઠાથી વિકાસકાર્યો કર્યા છે અને ભુજને વધુ સુંદર અને સુવિધાસભર બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:15 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ટાઉનહોલ રામભરોસે, પાલિકાને વર્ષે 25 લાખની આવક છતાં સુવિધા ભંગારવાડામાં ફેરવાઇ

શહેરની વચ્ચોવચ આવેલો ટાઉનહોલ ભંગારવાડા સમાન ભાસી રહ્યો છે. પાલિકાની બેઠકો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો, સાર્વજનિક સભાઓ વગેરે સહિતના આયોજન માટે ઉપયોગમાં લેવામાં આવતા ટાઉનહોલમાં ઉકરડો વ્યાપી રહ્યો છે. તાજેતરમાં ભુજ પાલિકા દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમાં માત્ર આ વર્ષમાં જ ટાઉનહોલ દ્વારા રૂ.25 લાખ આવક પ્રાપ્ત થયાનું દર્શાવાયું છે પરંતુ તેની જાળવણી બાબતે પાલિકા દ્વારા નિરસતા કરવામાં આવી રહી છે. જ્યારે સ્થળ પર તપાસ કરવામાં આવી તો, ટાઉનહોલની કાળજી રાખવા માટે રાખવામાં આવેલા લોકોના રૂમ જ ગંદકી ફેલાયેલી હતી, ટાઉનહોલની ચોતરફ અનેક જગ્યાએ ખુલા વાયર પણ પડ્યા છે. જે પણ મોટી ચિંતા સમાન છે. પાછળની બાજુએ ઘણી બધી તૂટેલી લારીઓ, બારીઓ, બારણાઓ સહિત લાકડાનો ઘણો બધો બિનઉપયોગી સમાન ખડકી રાખ્યો છે. ત્યાં જ સાથે દારૂની બોટલ પણ જોવા મળી હતી. જે દર્શાવે કે સંભવિત રાતના સમયે અસામાજિક તત્વો મહેફિલ જમાવતા હોય. સીસીટીવી સાથેની સુવિધા હોવા છતાં પણ બેકરદારી જોવા મળી રહી છે. એક બાજુએ ઓઈલના ભરેલા ડબ્બા પણ જોવા મળ્યા હતા, બેકારદારીપૂર્વક જો નાની એવી પણ ભૂલથી આગ લાગે તો એને વિકરાળ સ્વરૂપ આપવામાં આ ખુલ્લા પડેલા ડબ્બાઓ મોટો ભાગ ભજવી શકે છે. તેમજ ટાઉનહોલના પગથિયાથી લઈને ચારે બાજુએ ઠેર ઠેર પીપળાના વૃક્ષો પણ ઊગી નીકળ્યા છે. જે કાળજીનો અભાવ દર્શાવે છે. શહેરીજનોને સ્પર્શતા વિવિધ આયોજન અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રબિંદુ સમાન ટાઉનહોલ પાસેથી આવક રળવામાં તો પાલિકા સક્રિય છે પરંતુ એની જાળવણી બાબતે જાગૃત રહેવામાં નિષ્ક્રિય દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:12 am

મંડે પોઝિટીવ:‘કુંજી’ સાથે 22 હજાર કિમી કાપી કચ્છ પહોંચ્યો યુવાન

જીવનને યાત્રા દ્વારા માણવા અને દેશની સંસ્કૃતિને જાણવા કેરાલાથી કાશ્મીર સુધી સાઈકલ પર નિકળેલા કેરાલા રાજ્યના કોટ્ટાયમ જિલ્લાના અતિરામપુઝા ગામનો 50 વર્ષીય યુવાન જોબિન સેબાસ્ટિયન જ્યારે કચ્છ પહોંચ્યો ત્યારે અહીંના લોકોના સ્વભાવ, લાગણી અને કચ્છની સુંદરતા પર મોહી ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ને સમર્થન આપી રહ્યો છે. દોઢેક વર્ષ પહેલા 11 ઓક્ટોબર 2024ના એના ગામથી શરૂ કરેલી કેરાલાથી કાશ્મીર યાત્રામાં 22,000 હજાર કિલોમીટર કાપ્યા બાદ જોબિન એના 10 વર્ષની પાલતુ શ્વાન કુંજી સાથે કચ્છ પહોંચ્યો છે. પાંચ દિવસ કચ્છમાં ઠેર ઠેર ફર્યા બાદ હવે નારાયણ સરોવર, લખપત, સફેદ રણ, રોડ ટુ હેવન, ધોળાવીરા તરફ પ્રયાણ કરશે. બાળપણથી સમયાંતરે યાત્રાઓ, પ્રવાસ કરવાના શોખીન જોબિને 14 વર્ષ સાઉદી અરેબિયામાં જોબ કરી અને વતન પરત ફર્યા બાદ 2018ના કેરાલાના ભયાનક પૂરમાં ઘર ડૂબવા સહિત આર્થિક સંકટનો સામનો કર્યો પણ માનસિક સ્થિતિ પર લાગેલા આઘાતને વધુ હાવી ન થવા દઈને થોડી સ્થિતિ સુધરતા જ જન્મથી એના સાથે રહેતી એની પાલતુ શ્વાન કુંજી સાથે નિજાનંદ, આત્મસંતોષ અને દેશની સંસ્કૃતિ જીવવા સાઈકલ યાત્રા પર નીકળી પડ્યો. રસોઈ કરવાની થોડી સામગ્રી, કપડાં, ટાયર, ટ્યુબ, ફોન ચાર્જ કરવા માટે સોલાર પ્લેટ, રહેવા માટે ટેન્ટ સાથે દિવસના અંદાજે 40થી 50 કિલોમીટર કાપીને વિવિધ ગામોમાં રોકાણ કરે છે. મોટા ભાગે જે તે સ્થાનિકો દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા થઈ જતી હોય છે તો ક્યારેક પોતે ટેન્ટમાં રહી લે છે અને જાતે જમવાનું બનાવી લે છે. દોઢેક વર્ષ કેરાલા, કર્ણાટક, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, મહારાષ્ટ્રમાં વીતાવ્યા બાદ હાલે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા ફર્યા બાદ કચ્છમાં સમય ગાળી રહ્યો છે તો નહિવત ખર્ચા સાથેની ચાલતી ભારત ભ્રમણની આ સમગ્ર યાત્રા અંદાજે પાંચ વર્ષ ચાલશે. અનેક ભાષાઓ સાથેના આપણે દેશવાસીઓ એક જમલયાલમ માતૃભાષા સાથે થોડી થોડી હિંદી અને અંગ્રેજી જાણતા જોબિનને અત્યાર સુધી ક્યાંય પણ અન્ય ભાષાના કારણે લોકો સાથે સંપર્ક સાધવામાં તકલીફ પડી નથી. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ અનેકતામાં એકતા સાથે સંકળાયેલા છીએ ત્યારે ધર્મ, ભાષા કે સંસ્કૃતિના કારણે યાત્રા દરમિયાન કોઈ જ રૂકાવટ થઈ નથી. દરેક સ્થળે લાગણીથી આવકાર મળતો હોવાના કારણે વાત કહેવામાં કે સમજવામાં ભાષા બાધ્યતા બનતી નથી. કુંજી એ પ્રેમ અને લાગણીનો સતત સુખદ અનુભવ આપે છેસાઇબેરીયન પ્રજાતિની 10 વર્ષની પાલતુ શ્વાન કુંજી એના જન્મથી જોબિન સાથે છે. નાના નાના ઘણા બધા પ્રવાસોમાં સતત સાથે રહેતી કુંજી પ્રત્યે અઢળક સ્નેહ અને લાગણીથી બંધાયેલા જોબિને તેને પોતાના સુખ-દુઃખના સાથી તેમજ પરિવાર સમાન ગણાવી હતી. સાથે ઉમેર્યું હતું કે, કુંજી સાથેની લાગણીના માધ્યમથી જીવનમાં પ્રેમ અને ભાવનાઓને વધુ સારી રીતે અનુભવતા શીખ્યો છું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:10 am

પર્ફોર્મિંગ આર્ટ્સમાં વાર્ષિકોત્સવ-સભા વાદન કાર્યક્રમ:ભરતનાટ્યમમાં ‘પુષ્પાંજલિ’, ‘કાલ તાંડવમ’ અને ‘ગંગા અવતરણ’થી સાંસ્કૃતિક સફરનો અનુભવ

મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસમાં વાર્ષોકોત્સવની ઉજવણી રૂપે ‘પુષ્પાંજલિ’, ‘કાલ તાંડવમ’ અને ‘ગંગા અવતરણ’ જેવી ભરતનાટ્યમ નૃત્ય રચનાઓની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. અંતિમ ભાગમાં યુનિવર્સિટીના દેશ-વિદેશ વિદ્યાર્થીઓ દ્વારા ‘લોક રંગો’ નામે લોકનૃત્ય અને લોકસંગીતની રંગબેરંગી રજૂઆતો કરવામાં આવી. આ રજૂઆતો દ્વારા ભારતના વિવિધ પ્રદેશોની લોકસંસ્કૃતિ અને પરંપરાની ઝલક દર્શાવવામાં આવી, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બની. તેમજ બીજા દિવસે ભારતીય પુરાણિક અને સાંસ્કૃતિક પરંપરાને કલાત્મક રીતે રજૂ કરવામાં આવી. ‘સ્વદેશાભિમાન’ જેવી રજૂઆત દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું. ભારતીય શાસ્ત્રીય નૃત્ય વિભાગ દ્વારા આજે પરંપરા, સાધના અને સર્જનાત્મકતાના સુમેળરૂપ ‘સભા નૃત્ય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે યોજાયેલા સભ વાદનમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિ પ્રસ્તુત કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:04 am

‘ગુજરાતી રંગભૂમિ’ વિષયે વક્તવ્ય યોજાયું:ફિલ્મો-ટીવી વચ્ચે પણ રંગભૂમિ જીવંત, નાટકો માટે પ્રેક્ષકો ટિકિટ લઈ થિયેટર સુધી પહોંચે છેઃ વિહંગ મહેતા

જમાનો બદલાયો ફિલ્મો આવી,ટીવી આવ્યું એટલે જૂની રંગભૂમિ મૃત:પ્રાય થઈ ગઈ. જો કે જમાના સાથે રંગભૂમિમાં બદલાવ આવ્યો. નવી રંગભૂમિ પર નાટકોનું અલગ જ સ્વરૂપ આવ્યું. ટીવી. સિનેમાના જમાનામાં પણ નાટ્યગૃહોમાં જઇ ટિકિટ લઈ નાટક જોવાની ફરજ પડે એવાં નાટક થવા માંડ્યા. રંગભૂમિ જ્યારે જૂની રંગભૂમિ થી નવી રંગભૂમિ તરફ પ્રયાણ કર્યું ત્યારે સૌ કલાકારોએ નવી રંગભૂમિની શરૂઆત કરી. તેમ જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા ‘એ ત્રાડની ધ્રૂજારી હજુ શમી નથી ગુજરાતી રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ’ વિષય પર યોજાયેલા વક્તવ્યમાં રંગભૂમિના લેખક વિહંગ મહેતાએ જણાવ્યું હતું. ગુજરાતી રંગભૂમિના સુવર્ણ યુગનો અનુભવગુજરાત તેમજ મુંબઈની રંગભૂમિ સાથે જોડાયેલા પોતાના પાંચ દાયકાના અનુભવોને આધારે ગુજરાતી રંગભૂમિના વિકાસની વાત કરી હતી. પોતાના પ્રવચનમાં તેમણે ગુજરાતી રંગભૂમિના સુવર્ણ યુગ, તે સમયના પ્રતિષ્ઠિત કલાકારો, પ્રયોગશીલ નાટકો અને વ્યાવસાયિક રંગભૂમિના વિવિધ તબક્કાઓ અંગે રસપ્રદ માહિતી આપી હતી. સાથે જ આજની રંગભૂમિની સ્થિતિ, નવા લેખકો અને દિગ્દર્શકોના પ્રયત્નો તથા આવનારા સમયમાં ગુજરાતી રંગભૂમિ માટે રહેલી સંભાવનાઓ અંગે પણ તેમણે વિચારપ્રેરક રજૂઆત કરી હતી

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:03 am

રાજકોટ મનપાની સાઉથ ઝોન કચેરીનું કામ પુરજોશમાં:વોર્ડ નંબર 15,16,17 અને 18ના નાગરિકોએ કામગીરી માટે સેન્ટ્રલ ઝોન કચેરી લાંબુ નહીં થવું પડે, વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા

રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ઇસ્ટ, વેસ્ટ તેમજ સેન્ટ્રલ સહિતની ત્રણ ઝોન કચેરીઓ કાર્યરત છે. જોકે શહેરની દક્ષિણમાં આવેલા વોર્ડ નંબર 15,16,17 અને 18નાં અંદાજે 5 લાખ કરતા વધુ લોકોને જન્મ-મરણનાં દાખલા, આધારકાર્ડ સહિત કોર્પોરેશનને લગત તમામ કામગીરી માટે સેન્ટ્રલ ઝોનમાં આવેલી મુખ્ય કચેરી સુધી આવવું પડે છે. જોકે મનપાનો વિસ્તાર વધી રહ્યો હોય લોકોની સુવિધા માટે કોઠારીયા વિસ્તારમાં આવેલા રાધે ચોક પાસે હાલ રૂ. 32.54 કરોડનાં ખર્ચે નવી સાઉથ ઝોન કચેરીનાં નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામ પૂર્ણ થતાં જુદા-જુદા 4 વોર્ડમાં રહેતા લાખો લોકોનાં નાના-મોટા કામો ઘરઆંગણે થશે. એટલું જ નહીં આ કચેરી માટે ખાસ અધિકારીઓ ફાળવવામાં આવતા તમામ વોર્ડનો વિકાસ ઝડપી થશે. રાધે ચોક પાસે થઈ રહ્યું છે સાઉથ ઝોન કચેરીનું નિર્માણરાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાળાની રજૂઆતો બાદ મનપાનાં બજેટમાં સાઉથ ઝોન કચેરીનો સમાવેશ થયો હતો. ત્યારબાદ આ માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. અને છેલ્લા 9 મહિનાથી રાધે ચોક ખાતેના વિશાળ પ્લોટમાં સાઉથ ઝોન કચેરીનાં નિર્માણનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કમિશ્નર તુષાર સુમેરાએ પણ અહીં ચાલી રહેલા કામની રૂબરૂમાં મુલાકાત લઈને આ કામ ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ કચેરી માટે ખાસ ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરની પોસ્ટ ફાળવવામાં આવનાર છે. જેને લઈને અહીંના લોકોને નાના-મોટા કામ માટે સેન્ટ્રલ ઝોન સુધી ધક્કો ખાવો પડશે નહીં. રૂ. 32.54 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથેનું બિલ્ડિંગ બનશેમ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં આ અંગે જણાવ્યું કે, મહાનગરપાલિકામાં હાલ ત્રણ ઝોન કાર્યરત છે, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન. લાંબા સમયથી એક ડિમાન્ડ હતી કે સાઉથ ઝોન પણ બને જેથી કાર્યભારની વ્યવસ્થિત રીતે વહેંચણી થઈ શકે. આ બાબતે વર્ષ 2024-25 ના બજેટ આઈટમ તરીકે સાઉથ ઝોન ઓફિસ અને સાઉથ ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની ઓફિસનાં નિર્માણનું કામ હાલ ઝડપભેર ચાલી રહ્યું છે. રાજકોટ મનપા દ્વારા રૂ. 32.54 કરોડનાં ખર્ચે આખું સાઉથ ઝોનનું એક મોર્ડન ઓફિસ બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે. આ ઝોનમાં અમે અત્યારે ટેન્ટેટિવલી 4 વોર્ડનો સમાવેશ કરવાનું વિચારી રહ્યા છીએ. હજુ તેની અંદર આખું રિસ્ટ્રક્ચરિંગ કરવાનું થશે. લગભગ આવતા 6 થી 8 મહિનામાં અમે વિચારી રહ્યા છીએ કે આ એન્ટાયર સ્ટાફ સાથેની ફુલ્લી ફંક્શનલ ઓફિસ કાર્યરત થઈ જશે. અત્યારે આ પ્રોજેક્ટનું લગભગ 50 ટકાથી પણ વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. કચેરી કાર્યરત થતા સ્થાનિક લોકોએ સેન્ટ્રલ ઝોન કચેરીનો ધક્કો નહીં ખાવો પડેમનપાની સાઉથ ઝોન ઓફિસ અન્ય તમામ કચેરીઓ કરતા વધુ આધુનિક હશે. જેમાં પ્રજાલક્ષી સેવાઓ લોકોને ડાયરેક્ટ મળી રહે તે માટે એક આખો અલગ સેક્શન બનાવવામાં આવશે. ઝોનલ લેવલ પર લોકોને તમામ સુવિધાઓ જેવી કે દાખલાઓ, આધારકાર્ડ વગેરે મળી રહે તે માટે સિવિક સેન્ટર પણ ત્યાં જ બનાવવામાં આવશે. અમારો ધ્યેય એવો છે કે લાંબા ગાળે ચારેય ઝોન એવી રીતે સેટઅપ થાય કે લોકોને તેમની તમામ જરૂરિયાતો ઝોન કક્ષાએ પૂર્ણ થઈ જાય. જેથી લોકોને સેન્ટ્રલ ઝોન કચેરી સુધી ધક્કો ખવામાંથી મુક્તિ મળશે. તેમજ મુખ્ય કચેરી પરનું કામનું ભારણ પણ ઘટશે. આ વર્ષના અંત સુધીમાં કચેરીનું કામ પૂર્ણ થવાની શક્યતાનવો દક્ષિણ ઝોન બનતા કોઠારીયાના 4 વોર્ડના લોકોને નગરના આયામો પ્રમાણેની નળ, ગટર અને રોશનીના પ્રશ્નો માટે ઈસ્ટ ઝોન સુધી લાંબા નહિ થવું પડે. તેમજ ડી.એમ.સી. અને સિટી ઈજનેરની અલાયદી નિયુક્તિ આ ઝોન માટે થવાથી કામો ઝડપી થવા લાગશે. હાલમાં ઝોન કચેરી નવી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અંદાજે આગામી 6-8 મહિનામાં આ કામગીરી પુરી થશે. બાકીનું સેટઅપ વોર્ડ વાઇઝ હોવાથી સ્ટાફની કોઈ સમસ્યા નહિ થાય. આ કચેરી માટે સિટી ઈજનેર અને મુખ્ય અધિકારી ( ડી.એમ.સી.) નિયુકત કરવા પડશે. ડી.એમ.સી. તરીકે સરકારી કેડરમાંથી નિયુક્તિ થતી હોવાથી સરકારમાંથી મંજૂરી સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ મનપાનો ઇતિહાસ અને ઝોન ઓફિસોનું વિસ્તરણરાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી, તમામ વોર્ડ અને વિભાગોની કામગીરી ઢેબરભાઈ રોડ પર આવેલી મુખ્ય કચેરી, એટલે કે સેન્ટ્રલ ઝોન ખાતેથી જ કરવામાં આવતી હતી. વર્ષ 1998માં રાજકોટ શહેરની હદમાં મવડી અને રૈયા ગામનો સમાવેશ થતા મનપાનાં વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વિસ્તરણના ભાગરૂપે 2006માં 150 ફૂટ રિંગરોડ પર હરીસિંહજી ગોહિલ ભવન વેસ્ટ ઝોન કચેરી અને વર્ષ 2007માં ભાવનગર રોડ પર ઝવેરચંદ મેઘાણી ભવન ઇસ્ટ ઝોન ઓફિસનું નિર્માણ કરીને કાર્યરત કરવામાં આવી હતી. જેના કારણે નાગરિકોને તેના વોર્ડ અને નિવાસસ્થાનથી નજીક આવેલી ઝોન ઓફિસ ખાતેથી વિવિધ સુવિધાઓ મળવી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ, મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ 2015માં કામગીરીનું વધુ વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું, અને વોર્ડ ઓફિસ ખાતેથી મિલકતવેરા, વ્યવસાયવેરા, વાહનવેરો, જન્મ-મરણ પ્રમાણપત્ર, વિવિધ વસૂલાત, ફરિયાદ નોંધણી જેવી અમુક સેવાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન શહેરની હદમાં ફરીથી વિસ્તરણ થયું હતું. વર્ષ 2015માં કોઠારીયા અને વાવડી ગામનો સમાવેશ થયો અને વર્ષ 2020માં મુંજકા, મોટા મૌવા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર-1 સહિતના ગામોને પણ રાજકોટ મહાપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા હતા. જેના કારણે શહેરનો વિસ્તાર વધુ વધ્યો હતો. આ વિસ્તરણને ધ્યાનમાં રાખી હાલ સાઉથ ઝોન કચેરીના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 32.54 કરોડનાં ખર્ચે કોઠારીયાનાં રાધે ચોક ખાતે બની રહેલી આ ઓફિસની 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાનો દાવો મ્યુ. કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો છે. અને આગામી 6-8 મહિનામાં આ કચેરી સંપૂર્ણપણે કાર્યરત કરવાની દિશામાં આ કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. સમયાંતરે મ્યુ. કમિશ્નર ખુદ રૂબરૂ મુલાકાતો લઈને કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષના અંતમાં કે વર્ષ 2027ની શરૂઆતમાં વોર્ડ નંબર 15,16,17 અને 18માં રહેતા લાખો લોકોને આ કચેરીનો લાભ મળશે. અને મનપાને લગતી સુવિધા ઘરઆંગણે મળવાની સાથે દક્ષિણ ઝોનનાં વિકાસકામો પણ વધુ ઝડપી થતા સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:00 am

ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ:હાઉસકીપિંગ કંપનીના માલિકે કર્મીને ધમકી આપતાં ફરિયાદ

સુરતના વૈભવી કારના વર્કશોપ માટે હાઉસકિપિંગના સ્ટાફની વ્યવસ્થા કરવા ગયેલા અમદાવાદની આરડેન્ટ ફેસિલિટી કંપનીના ફિલ્ડ ઓફિસરને કંપનીના માલિકે અપશબ્દો બોલીને ધમકીઓ આપી હતી. કંપની માલિકે કર્મચારીના પરિવાર વિશે પણ અપશબ્દો બોલ્યા હતા. ત્યારે આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. માણેજા ઓમકાર ગ્રીન ખાતે રહેતા સુનિલભાઈ ખાનાભાઈ વણકર અમદાવાદ ઓઢવની આરડેન્ટ ફેસિલિટી પ્રા.લી.કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરે છે. જ્યારે કંપનીના માલિક બ્રિજેશ કુશ્વાહા છે. સુનિલભાઈ તા.9 જાન્યુઆરીએ કંપનીના કામથી સુરત ગયા હતા. ત્યારબાદ કામ પૂર્ણ કરીને પરત વડોદરા આવી ગયા હતા. તા.11એ સુનિલભાઈએ કંપનીના માલિક બ્રિજેશને મેસેજ કરીને સુરતની કામગીરીનો રિપોર્ટ મોકલ્યો હતો. સુનિલભાઈએ તેમાં જણાવ્યું હતું કે, સુરત હું ગયો હતો જ્યાં અમુક લોકોને હાઉસિપિંગ માટે વિઝિટિંગ કાર્ડ આપીને આવ્યો છું અને આજે મારામાં બે-ત્રણ વ્યક્તિના ફોન આવ્યા છે. જોકે તે જોઈને બ્રિજેશ ઉશ્કેરાઈને સુનિલભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ભાસ્કર ઇનસાઇડબે માસ સુધી માલિક વિરુદ્ધની અરજી મકરપુરા પોલીસ સ્ટેશનમાં જ રહી, કમિશનરને અરજી કરતાં જ કાર્યવાહીઆરડેન્ટ ફેસિલિટી કંપની દ્વારા સુરતના મર્સિડીઝના વર્કશોપને હાઉસકિપિંગનો સ્ટાફ પુરો પાડવા કોન્ટ્રેક્ટ લેવાયો હતો. તેની કામગીરીને માટે સુનિલ વણકર સુરત ગયા હતા. જ્યાં કોઈ સારા વ્યક્તિ મળ્યા નહોતા. જેથી તે પરત આવી ગયા હતા. ત્યારબાદ બ્રિજેશે અપશબ્દો કહી ધમકી આપી હતી. સુનિલભાઈએ 13 જાન્યુઆરીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થતા તેમને તા.22 ફેબ્રુઆરીએ કમિશનરને અરજી કર્યા પછી તા.14 માર્ચે પોલીસે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:00 am

સાહેબ મિટિંગમાં છે:ગુજરાતના રેગ્યુલર ડીજીપી તરીકે રાવ કે પછી અન્ય કોઈ? , વિરોધ પ્રદર્શન સમયે કાર્યકરોએ નેતાજીને ખાલીના બદલે ભરેલો બાટલો આપી દીધો!

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... રેગ્યુલર DGP મુદ્દે ટૂંક સમયમાં ક્લિયરન્સ? રાવનું નામ મોખરે ગુજરાત પોલીસના ટોચના પદને લઈને ફરી એકવાર સચિવાલયના કોરિડોરમાં ચર્ચા છે. રાજ્યમાં હાલ DGPનો વધારાનો ચાર્જ કે.એલ.એન. રાવ સંભાળી રહ્યા છે અને હવે રેગ્યુલર નિમણૂક અંગે ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે. સુપ્રીમ કોર્ટની તાજેતરની માર્ગદર્શિકાઓ બાદ રાજ્ય સરકારે UPSCને ત્રણ અધિકારીઓની પેનલ મોકલી હોવાનું જાણવા મળે છે. સૂત્રો કહે છે કે પેનલમાં સિનિયોરિટી મુજબ રાવનું નામ આગળ હોવાથી અંતિમ પસંદગી તેમના તરફ જ ઝૂકી શકે છે. જો UPSC તરફથી લીલી ઝંડી મળે તો ચાલુ મહિનામાં જ નવા રેગ્યુલર DGP અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. આ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ BSFના DG માટે ચર્ચામાં હતું, પરંતુ અંતે ત્યાં અન્ય અધિકારીની પસંદગી થતાં મલિક ગુજરાતમાં જ યથાવત રહ્યા છે. પરિણામે હાલની પરિસ્થિતિમાં રાવને જ સ્થાયી DGP બનાવવાની સંભાવના વધારે જણાઈ રહી છે. જોકે ગુજરાતની બ્યુરોક્રસીમાં સરપ્રાઇઝ પણ સામાન્ય બાબત છે, એટલે અંતિમ આદેશ બહાર આવે ત્યાં સુધી અંદાજો લગાવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં ગમે ત્યારે સિનિયર IPSની બદલી આવી શકેઆગામી એક મહિનામાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે ત્યારે હજી સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓનો દોર બાકી છે ત્યારે એક અઠવાડિયામાં હવે ચૂંટણી જાહેર થાય તેવી સંભાવનાઓ ત્યારે આ અઠવાડિયામાં જ સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. કેટલાક સિનિયર અધિકારીઓ તો માત્ર બદલીઓના ઓર્ડરની જ રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના બે આઇપીએસ અધિકારીઓ પોતાની બદલીઓ થવાની રાહ જોઈ રહ્યા છે જેથી શાંતિપૂર્ણ રીતે અને સારી જગ્યાએ પોસ્ટિંગ મળે તેના માટે તેમના તાબા હેઠળના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી જળવાય માટે ખાસ સૂચના આપી હોવાનું ચર્ચાઈ રહી રહ્યું છે. કમિશનર સામે જૂના ફોટો સાથે નવું પ્રેઝન્ટેશન રજૂ કરાયું!અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીવ્યુ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારે ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટના મુદ્દા ઉપર એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં ફોટા જુના દર્શાવવામાં આવ્યા હતા જે કમિશનરે પકડી પાડ્યા હતા અને ત્યારબાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કહ્યું હતું કે તમે જે ફોટા બતાવી રહ્યા છો એ જૂના છે. સાહેબની જૂની ફોટા બતાવવાની બાબત સામે આવતા તરત જ તેમણે કહ્યું હતું કે ભૂલથી ફોટા ડીલીટ કરવાના રહી ગયા છે જેથી કમિશનર સાહેબે કહેવું પડ્યું હતું કે તમે અહીંયા આવો છો ત્યારે પૂરતી તૈયારી કરીને આવતા નથી. કુપોષણના મુદ્દે અધિકારીઓએ મંત્રીને ગેરમાર્ગે દોરતા વિધાનસભામાં મંત્રીએ ખોટો જવાબ આપ્યો ?બાળકોના કુપોષણને દૂર કરવા માટે સરકાર વર્ષે અબજો રુપિયાનો ખર્ચ કરી રહી છે પરંતુ કુપોણવાળા બાળકો અને મહિલાઓની સંખ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે. જેથી એવો પ્રશ્ન થાય છે કે, કુપોષણના નાણાંથી શું કોઈ અધિકારીઓનુ આર્થિક પોષણ તો નથી થઈ રહ્યુ ને. ગુજરાતમાં અઢી લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યાનુ ખુદ સરકારને વિધાનસભામાં સ્વીકારવુ પડ્યું છે. બાળ અને મહિલા વિભાગના અધિકારીઓ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે મંત્રી સમક્ષ ખોટા ખોટા પ્રેઝન્ટેશન કરીને ફુલ ગુલાબી ચિત્ર બતાવતા હોય છે. આખો દિવસ મીટીંગો રાખીને દેખાડો કરે છે. કુપોષિત બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોવા છત્તા મંત્રીએ ગૃહમાં એવો જવાબ આપ્યો કે કુપોષિત બાળકોની સંખ્યામા 9 ટકાથી વધુનો ઘટાડો થયો છે.આવો જવાબ કયા અધિકારીને ઈશારે અપાયો તેની ચર્ચા શરુ થઈ છે. વડાપ્રધાનના મહિનાના અંતે વાવ-થરાદની મુલાકાતે આવે તેવી શક્યતાવડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવે તેવી શક્યતા છે. PM મોદી ઉત્તર ગુજરાતમાં નવા બનેલા થરાદ-વાવ જિલ્લાની મુલાકાત લઈ રોડ શો અને જાહેરસભાને સંબોધી શકે છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈને તંત્ર દ્રારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેઓ કેટલાક કામોનુ લોકાપર્ણ અને શિલાન્યાસ કે ઉદઘાટન કરે તેવી શક્યતાઓ છે.વડાપ્રધાનના અન્ય કાર્યક્રમોને હજુ આખરી ઓપ અપાઈ રહ્યો છે. પીએમઓ દ્રારા તારીખોનુ કન્ફર્મેશન આગામી દિવસોમાં આપી દેવાશે. આ મહિને માર્ગ મકાન વિભાગના સેક્રેટરી પ્રભાત પટેલીયા નિવૃત થશે,એક્સ્ટેન્શન મળશેમાર્ગ મકાન વિભાગના સેક્રેટરી પ્રભાત પટેલીયા આ મહિનાના અંતે વયનિવૃ્ત્ત થઈ રહ્યા છે. તેમની જગ્યાએ કયા અધિકારીને મુકવા તે પ્રશ્ન સરકાર માટે માથાનો દુઃખાવો બન્યો છે. કેમે કે જે ચીફ એન્જિનિયર તરીકે આઠ વર્ષનો કામ કરવાનો અનુભવ હોય તેને જ સેક્રેટરીનુ પ્રમોશન અપાતુ હોય છે. પણ હાલમાં આવા એક જ એન્જિનિયર સોલંકીનુ નામ ચર્ચાઈ રહ્યુ છે. જ્યારે બીજી બાજુ એવી ચર્ચા છે કે, પૂર્વ સચિવ સંદીપ વસાવા અને એ.કે. પટેલને પણ આ પોસ્ટ પર કોન્ટ્રાક્ટબેઝથી મુકી શકાય છે. ટોચના અધિકારીઓનુ કહેવુ છે કે, વસાવા સચિવપદ માટે ઘણા જ સક્ષમ હોવા છત્તા તેમની સામે થયેલા કેટલાક આક્ષેપો લીધે અવઢવ છે. જ્યારે એ.કે. પટેલની કામ કરવાની ઢીલી પધ્ધતી સરકારને પસંદ આવતી નથી. આ સ્થિતિમાં આખો દિવસ હાથમા ફાઈલો રાખીને દોડાધામ કરી રહેલા પ્રભાત પટેલીયાનુ પલ્લુ ભારે દેખાઈ રહ્યુ છે.ઉપરાંત તેઓની ઈમેજ પણ ચોખ્ખી હોવાથી વય નિવૃત્તિ પછી તુરંત જ તેમને કોન્ટ્રાક્ટબેઝ પર ચાલુ રખાય તેવી શક્યતા છે. મકરંદ ચૌહાણ ક્લીનચીટ સાથે સેટલ, પરંતુ એક SPની તપાસ હજી યથાવત; તરલ ભટ્ટ અંગે પ્રશ્નોતાજેતરની IPS બદલી યાદીમાં સૌથી વધારે ચર્ચા મકરંદ ચૌહાણના નામે રહી. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ બાદ તેઓ ક્લીનચીટ મેળવી ચૂક્યા હોવાનું સૂત્રો કહે છે. પરિણામે માત્ર પ્રમોશન જ નહીં, પરંતુ લો એન્ડ ઓર્ડર જેવા મહત્વના વિભાગમાં તેમની નવી ગોઠવણી પણ થઈ ગઈ છે. બીજી તરફ ગાંધીનગરમાં રહી ચૂકેલા એક IPS અધિકારી સામે પરિણિતાના પતિ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની તપાસ હજુ અધૂરી હોવાનું કહેવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે તપાસ ચાલુ હોવા છતાં તેમને જિલ્લા સ્તરે SP તરીકે પોસ્ટિંગ મળી ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ વિભાગમાં એક બીજો સવાલ પણ ઉઠી રહ્યો છે – ડબ્બા ટ્રેડિંગ કેસમાં સસ્પેન્ડ કરાયેલા PI તરલ ભટ્ટનું શું? નિયમ મુજબ લાંબા સસ્પેન્શન બાદ અધિકારીને ફરી પોસ્ટિંગ મળવાની પરંપરા છે. હવે જોવાનું એ છે કે, ચૌહાણની જેમ અથવા અન્ય કેસોની જેમ ભટ્ટને પણ રાહત મળે છે કે તેઓ હજી લાંબા સમય સુધી સસ્પેન્શનમાં જ રહે છે. કોંગ્રેસના વિરોધમાં “ભૂલથી” ભરેલા ગેસના બાટલા, નેતાઓની પીઠે પડ્યો ભાર!વિધાનસભા બહાર ગેસ સિલિન્ડરની અછત અને ભાવવધારાને લઈને કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો. નેતાઓ ખભા પર ગેસના બાટલા લઈ પહોંચ્યા અને સરકાર સામે નારા લગાવ્યા. પરંતુ આ પ્રદર્શન પાછળ એક રસપ્રદ ઘટના પણ ચર્ચામાં આવી. કહેવાય છે કે કાર્યકર્તાઓ ભૂલથી ખાલી બદલે ભરેલા સિલિન્ડર લઈ આવ્યા. મીડિયા સામે કાર્યક્રમ શરૂ થઈ ગયો એટલે નેતાઓને પણ ખભા પર ભરેલો બાટલો ઉચકવો પડ્યો. પરિણામે થોડા સમય પછી કેટલાક નેતાઓને પીઠ અને શરીરમાં દુઃખાવાની ફરિયાદ કરતાં સાંભળવામાં આવ્યા. એક નેતાએ તો ઉત્સાહમાં સિલિન્ડર ખભે રાખ્યો, પરંતુ પછી સાથીઓને કહેતા નજરે પડ્યા કે “આ તો ઘણો ભારે પડી ગયો!” રાજકીય વર્તુળોમાં હવે આ ઘટનાને લઈને મજાક પણ ચાલી રહી છે – વિરોધ તો સરકાર સામે હતો, પરંતુ ભાર સિલિન્ડરે નેતાઓ પર જ પાડી દીધો. જાહેર શૌચાલયોની સ્થિતિ સુધારવા સીએમ દ્રારા તમામ IAS અધિકારીઓને સૂચનાગુજરાતના કોઈણ શહેર કે નાના ગામડાઓમાં આવેલા જાહેર શૌચાલયોની હાલત ખુબ જ ખરાબ છે. જે પૈકીમાંથી મોટાભાગના શૌચાલયો ગંદકીથી ખદબદી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્રારા કોઈ પ્રકારનુ ધ્યાન રખાતુ નથી. ખાસ કરીને મહિલાઓ જ્યારે ઘર કે ઓફિસથી ત્રણથી ચાર કલાક માટે બહાર નીકળે છે ત્યારે તેમની હાલત દયનીય બની જાય છે. સરકારી ઓફિસોમાં કે બસ સ્ટેશન સહિતના શૌચાલયોની આવી હાલત અંગે લોકો દ્રારા વર્ષોથી ફરિયાદો થતી આવી છે. સચિવાલયમાં ચર્ચા છે કે, તાજેતરમાં કેટલાક ધારાસભ્યોએ આ સંદર્ભમાં મુખ્યમંત્રીનુ ધ્યાન દોર્યુ હતુ. જેને પગલે મુખ્યમંત્રીએ ગત બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં તમામ સચિવોને સૂચના આપી હતી કે, આ પ્રકારના શૌચાયલોને ઠીક કરી દેવા જોઈએ. જેમાં પ્રભારી સચિવોએ પણ પોતાના તાબાના અધિકારીઓને માર્ગદર્શન આપીને શૌચાલયોને સુધારવાનુ કામ કરવાનુ રહેશે. UPSCમાં સફળ થયેલા ઉમેદવારોએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધીયુપીએસસીની ફાઈનલ પરીક્ષામાં સ્પીપાના 35 ઉમેદવારો સફળ થયા છે. આગામી દિવસો તેઓ સરકારના વિવિધ હોદ્દા પર ફરજ બજાવશે.આ ઉમેદવારો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં મળ્યા હતા. મુખ્યમંત્રીએ તમામને શુભેચ્છા આપી હતી. તેમજ એવી શિખામણ આપી હતી કે, તમે લોકો ખાસ કરીને છેવાડાના અને વંચિત તેમજ સામાન્ય નાગરીકો સાથે સંવેદના રાખીને ફરજ બજાવજો. દુઃખી અને જરૂરીયાતવાળા લોકોની વિશેષ તકેદારી રાખીને તેમના સાચા કામો હોય તો તેને મદદ કરવી. આગામી સમયમાં ટ્રેનિંગ લીધા બાદ ફરજ પર આવનારા ઉમેદવારોએ પણ સીએમને આ રીતે જ ફરજ બજાવવાનુ વચન આપ્યુ હતુ. સફળ ઉમેદવારોની સાથે સ્પીપાનો હવાલો સંભાળતા આઈએએસ અધિકારીઓ હારીત શુક્લા તથા ચંદ્રેશ કોટક પણ જોડાયા હતા. યુવા મોર્ચાનો હોદો મેળવવા નેતાએ ખોટી ઉંમર બતાવ્યાની ચર્ચાગુજરાત ભાજપ યુવા મોરચાના એક પ્રદેશના નેતા આજકાલ ખૂબ ચર્ચામાં છે. પ્રદેશના યુવા નેતા તરીકે હોદ્દો મેળવનાર આ હોદ્દેદારની ચર્ચા તેમના ઉંમરને લઈને થઈ રહી છે. પ્રદેશમાં હોદ્દેદાર તરીકે નિમણૂક પામવા માટે ઉંમર વધારે છે પરંતુ તેમની ઉંમર ઓછી દર્શાવવામાં આવી છે જેના કારણે તેમને હોદ્દો મળી ગયો છે. આ બાબતે ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓમાં છેલ્લા કેટલાય સમયથી હોદ્દેદારના ઉંમરને લઈને ચર્ચા છે. પ્રદેશના યુવા નેતાએ હોદ્દેદાર તરીકે રીપીટ થવા માટે ઉંમર ઓછી દર્શાવી છે જોકે ભાજપના નેતાઓને આ બાબતે પણ જાણ છે છતાં પણ આવા યુવા નેતાઓને સ્થાન આપવા માટે પદ આપી દેવામાં આવ્યું છે. ભૂતકાળમાં પ્રદેશના નેતાના ખાસ નજીકના ગણાતા કેટલાક યુવા કાર્યકર્તાઓએ સરકારી પ્લોટ માં લાખો રૂપિયા કમાવવા માટેની આખી સ્કીમ ઉભી કરી હતી. ભાજપ પ્રદેશના યુવા નેતાની અન્ય કેટલીક ફરિયાદો પણ છે જે કેટલાક નેતાઓ જાણે છે પરંતુ આ નેતાને ભાજપના પ્રદેશ અને ઉચ્ચ નેતાઓ સાચવી રહ્યા છે. ભાજપ સંગઠનના હોદેદારો કામગીરી સમજે ત્યાં જ કોર્પોરેશનની ચૂંટણી આવી પડીરાજ્યમાં આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. જેની પહેલા ભાજપ દ્વારા સંગઠનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. ગુજરાત ભાજપનું નવું સંગઠન મોડે મોડેથી જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા હોદ્દેદારોને ખૂબ મહેનત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી એક મહિનામાં હવે ચૂંટણી થવાની છે ત્યારે હજી ભાજપના હોદ્દેદારો પોતાના હોદ્દા સંભાળી અને કામગીરી હજી ધીમે ધીમે સમજે અને કરવાની શરૂઆત કરશે ત્યાં સુધીમાં જ ચૂંટણી આવીને ઊભી રહેશે જેથી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે સમયસર સંગઠન જાહેર ન કરવાના કારણે નવા સંગઠનનું નબળું પરિણામ ચૂંટણીમાં જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:00 am

નેતા બેઠા ને સોફો તૂટ્યો, જુઓ VIDEO:‘કોંગ્રેસમાં ના ફાવતું હોય તો AAPમાં આવી જાઓ’ વિધાનસભાના પગથિયેથી કિરીટ પટેલને ખુલ્લી ઓફર

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:00 am

ભાજપના રાજમાં કોંગ્રેસી પરિવારની “મોડલ સ્કૂલ-કોલેજ”:20 ઓરડામાં ધો.1થી 12 ગુજરાતી-અંગ્રેજી માધ્યમ, UG-PGના 15 કોર્સ; સરકારી જમીન પર બનાવ્યું શૈક્ષણિક સામ્રાજ્ય

ગુજરાતમાં ભાજપના રાજમાં કોંગ્રેસના એક પરિવારનો ગજબનો દબદબો છે. આ પરિવારે “મોડલ સ્કૂલ-કોલેજ” ખોલી છે! જેમાં ધોરણ 1થી 12 સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવાય છે. એટલું જ નહીં, BA, B.Com, BCA, BSW, BRS, LLB, MRS, MSW, M.Com, B.Ed, PTC, PGDCA, જેવા UG અને PG કોર્સ તેમજ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી તથા યોગ વિદ્યામાં ડિપ્લોમા સુધીના 15 જેટલા કોર્સ ચાલે છે. જે જગ્યાએ આટલા બધા કોર્સ ચાલતા હોય અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તો કોઈને પણ વિચાર આવે કે એક ભવ્ય શૈક્ષણિક સંકુલની વાત થતી હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આટલું મોટું શૈક્ષણિક સામ્રાજ્ય માત્ર 20 ઓરડામાં જ સિમિત છે. કદાચ કોઈને એમ થાય કે ભલે કોર્સ વધારે છે પણ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હશે. જો કે એવું પણ નથી. આ તમામ વિગતો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી છે. જો કે વાત ઓછા ઓરડા અને વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી જ સિમિત નથી. અમને કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા, ત્યાર બાદ અમે આ શૈક્ષણિક સંકુલમાં તપાસ કરી, યુનિવર્સિટી સુધી પણ પહોંચ્યા. દરેક તબક્કે અમારી સામે એવા ખુલાસા થતાં ગયા, જે વિચારવા માટે મજબૂર કરી દે કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કઈ હદે બગડી છે. કારણ કે જે જમીન પર આ સંકુલ બન્યું છે ત્યાંથી માંડીને જે રીતે તમે વિવિધ કોર્સની મંજૂરી મળતી ગઈ એ આખી પ્રક્રિયા સવાલોના ઘેરામાં છે. સૌથી પહેલા શૈક્ષણિક સંકુલની જમીન વિશે અમે તપાસ કરી.વર્ષ 2004ની વાત છે. જ્યારે કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી. ગુજરાતના ગીર સોમનાથમાં વેરાવળ પાસે આવેલા સુપાસીમાં આ જમીન 1 નવેમ્બર, 2004 સુધી ગૌરચનો ભાગ હતી. પરંતુ એ દિવસથી ગૌચરને અન્ય જગ્યાએ ગણાવી આ જમીનને સરકારી ખરાબા તરીકે બતાવવામાં આવી. પછી જમીનને શૈક્ષણિક હેતુ માટે કલેક્ટર દ્વારા એક ટ્રસ્ટને 30 વર્ષ માટે 1 રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી. જેને નામ મળી ગયું અર્જુન એજ્યુકેશન એકેડમી. આ શૈક્ષણિક સંસ્થા વૃંદાવન કેળવણી મંડળ ટ્રસ્ટ ચલાવે છે. ટ્રસ્ટના પ્રમુખ કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ જમીન ગૌચરથી ખરાબાની અને ત્યાર બાદ સંકુલને 2004માં મળી એ ઘટનાક્રમ સમયે ટ્રસ્ટના પ્રમુખ હીરા જોટવા જ ગામના સરપંચ હતા. ટ્રસ્ટમાં મંત્રી નગાજનભાઈ અરજણભાઈ જાદલ છે જે હીરા જોટવાના ભાઈ છે. ખજાનચી ભેનીબેન અરજણભાઈ વાલા છે જે હીરા જોટવાના માતા છે. સભ્ય હર્ષાબહેન તેમના પત્ની છે અને અન્ય એક સભ્ય હેમાબેન તેમના બહેન છે. હવે નીચે આપેલી બે સેટેલાઇટ તસવીર જુઓ.એક તસવીર 2010ની છે, જ્યારે બીજી તસવીર 2025ની છે. 15 વર્ષ થવા છતાં પણ આ શૈક્ષણિક સંકુલના બાંધકામમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી. પરંતુ સમયાંતરે અહીંયાં ભણાવવામાં આવતા કોર્સની સંખ્યા વધતી ગઈ. જે એક મોટો સવાલ ઉભો કરે છે. ભાડાપટ્ટાના કરારમાં એક જગ્યાએ આ જમીન શૈક્ષણિક હેતુ, હોસ્ટેલ અને રમત-ગમતના મેદાન માટે હોવાનું લખાયું છે. પરંતુ અન્ય એક પાના પર આ જમીન હોસ્ટેલ અને રમત-ગમત સાથે માત્ર પ્રાથમિક શિક્ષણના બાંધકામ માટે આપી હોવાનું લખાયું છે. એટલે જમીનના હેતુને લઈને થોડીક અસમંજસ જેવું છે. પરંતુ આ “ગ્રે એરિયા”નો લાભ સંસ્થાએ ભરપૂર રીતે લીધો અને સમયાંતરે નવા વર્ગો ઉભા કરી નાખ્યા. આ થઈ જમીનના હેતુની વાત. જ્યારે સરકારે આ જમીન પાણી કરતા પણ સસ્તા ભાવે આપી ત્યારે કેટલીક શરતો રાખી હતી. જેમાંની 4 શરતો ખૂબ મહત્વની છે. શરત નંબર 3: સ્કુલ-શાળા બાંધકામના નકશા કલેક્ટર પાસે મંજુર કરાવવાના રહેશે અને તેમની પૂર્વ મંજૂરી સિવાય તેમાં ફેરફાર નહીં કરી શકાય. શરત નંબર 5: સંસ્થાના જે હેતુ માટે જમીન આપી છે તે હેતુ માટે જ ઉપયોગ કરવાનો રહેશે, તેમાં ફેરફાર થશે નહીં. શરત નંબર 6: આ જમીનમાંથી સંસ્થા નફો લઈ શકશે નહીં તથા નફાકારક ઉપયોગ કરી શકશે નહીં. શરત નંબર 10: જો આમાંથી કોઈ શરતનો ભંગ થશે તો સરકાર કોઈ વળતર વગર જમીન પરત લઈ શકશે. આ શરતોને જોતા સવાલ એ ઉઠે છે કે શાળાના બાંધકામના નકશા કલેક્ટર પાસેથી મંજૂર કરાવવા. અહીં કોલેજનો તો ઉલ્લેખ જ નથી. પરંતુ તેમ છતાં કોલેજ ઉભી કરી દેવાઈ. તો શું એમાં “શૈક્ષણિક હેતુ” શબ્દનો છટકબારી તરીકે ઉપયોગ થયો છે? UGCના નિયમો કરતા સંસ્થા પાસે ઓછી જમીનસંકુલના બાંધકામના નકશા મંંજૂર કરાવવાના હતા પરંતુ ભાડા કરારની શરત મુજબ આ નકશો મંજૂર કરાવવામાં ન આવ્યો હોવાનો આરોપ છે. સૌથી મહત્વની વાત, વર્ષ 2016માં અર્જુન એજ્યુકેશન એકેડમીને B.Com માટે મંજૂરી આપવામાં આવી હતી. UGCના નિયમ મુજબ જે તે સંસ્થામાં UG કોર્સ ચાલુ થયાના ત્રણ વર્ષ બાદ જ તેને સલગ્ન PG કોર્સની મંજૂરી મળે. પરંતુ એક અરજીમાં આરોપ છે કે અર્જુન એજ્યુકેશન એકેડમીને બીજા જ વર્ષે M.Com કોલેજની મંજૂરી મળી ગઈ. આ ઉપરાંત UGCના નિયમ મુજબ કોલેજ પાસે વિવિધ કોર્સની મંજૂરી માટે 5 એકર જમીન હોવી ફરજિયાત છે પરંતુ આ સંકુલ પાસે કુલ જગ્યા 5527.70 ચોરસ મીટર છે. જે માંડ 1.4 એકર જેટલું થાય છે. વળી એમાં શાળાનું સંકુલ પણ આવી ગયું. પરંતુ જ્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોલેજના વિવિધ કોર્સની મંજૂરી આપવામાં આવી ત્યારે કોલેજે UGCના નિયમોનું પાલન કર્યુ હોવાનું લખવામાં આવ્યું છે. અત્યાર સુધી કાગળ પર થયેલી રમત વિશે અમને જાણકારી મળી હતી. હવે સમય હતો ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનો. 20 ઓરડાના આ સંકુલમાં ધોરણ 1થી 12ના ગુજરાતી-અંગ્રેજી માધ્યમ અને અલગ-અલગ 15 કોર્સના વિદ્યાર્થીઓ કેવી રીતે સમાતા હશે? ભણાવવાથી લઈને પરીક્ષા લેવા સુધીની વ્યવસ્થા કેવી હોય છે? એને કેટલી ફી લેવામાં આવે છે? આવા અનેક સવાલો અમારા મનમાં હતા. જાણવા મળ્યું કે સૌરાષ્ટ્રભરમાંથી અનેક વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. કેટલાય વિદ્યાર્થીઓ માટે આ સંકુલ ફેવરેટ છે. અમે અનેક વિદ્યાર્થીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. પરંતુ અર્જુન એજ્યુકેશન એકેડમી વિશે ઉભા થયેલા ત્રણ મોટા સવાલ પર કેમેરા સામે કાંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો. જો કે આડકતરી રીતે પૂછતા કેટલાકે કહ્યું, તમારે દેવશી બાપાને જ મળવું પડશે. દેવશી બાપા એટલે દેવશીભાઈ જોટવા જે અર્જુન શૈક્ષણિક સંકુલનું સંચાલન કરે છે. ઘણા પ્રયત્ન બાદ અમારી એક વિદ્યાર્થી સાથે વાતચીત થઈ. જેને નામ અને ઓળખ છુપાવવાની શરતે કોલેજ વિશે સ્ફોટક ખુલાસા કર્યા. આ વિદ્યાર્થી અર્જુન કોલેજમાંથી BAનો અભ્યાસ કર્યો હતો. અમે પૂછ્યું કે કેવી રીતે કોલેજ ચાલે છે દરરોજ જવું ફરજિયાત હોય છે? વિદ્યાર્થીએ કહ્યું, ના… કોલેજમાં જવાનું નથી હોતું. પરંતુ જે સેમેસ્ટરની ફી હોય તેના કરતા બમણી ફી ભરવાની હોય છે. એટલે એ લોકો એડમિશન લઈ લે છે. અમે આ વિદ્યાર્થીને પરીક્ષા વખતની સ્થિતિ વિશે પૂછ્યું. તો તેણે જણાવ્યું, પરીક્ષામાં કોઈ ચિંતા નથી હોતી. તેઓ ફુલ ચોરી કરવા દે છે. સાહિત્ય સાથે લઈને જવાનું અને તેઓ ઉપર ઉભા રહીને ચોરી કરાવે છે. નિયત ફી કરતા ડબલ ફીમાં ચોરી કરાવી અને પાસ કરાવવાની આડકતરી રીતે જવાબદારી હોય છે. જો કે ફીની પહોંચ અડધી રકમની જ આપવામાં આવે છે. વિદ્યાર્થીને બેઠક વ્યવસ્થાનું પૂછ્યું તો તેણે કહ્યું, દરેક કોર્સની પરીક્ષા એકસાથે નથી હોતી એટલે તકલીફ પડતી નથી. આ ઉપરાંત જે દિવસે કોલેજની પરીક્ષા હોય અને ત્યારે રજાનો દિવસ ન હોય તો પણ શાળામાં રજા જાહેર કરી દેવાય છે એટલે ઓરડા ઓછા ન પડે. અમે સ્કવૉડ વિશે પૂછ્યું તો વિદ્યાર્થીએ 2017ના એક ગંભીર બનાવનો ઉલ્લેખ કરતા જણાવ્યું, આ લોકો ઓફિસમાં બેસાડીને તેમને પણ “મેનેજ” કરી લે છે. એકવાર પ્રામાણિક અધિકારી સ્ક્વોડમાં આવ્યા તો સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસે જ અધિકારીઓ સાથે મારામારી કરાવી હતી. મારી નજર સામે જ તેમને મારવામાં આવ્યા હતા. સુપાસીના શૈક્ષણિક સંકુલમાં ભૂતકાળમાં બનેલો એક બનાવ વિદ્યાર્થીના દાવાને મજબૂતી આપે છે. 2017માં પરીક્ષા દરમિયાન ચોરી કરતા અટકાવવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચેકિંગ સ્ક્વોડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં કોલેજ સંચાલક દેવશીભાઈ જોટવા અને અન્ય 15થી 20 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. મહિપાલસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં લખાવેલી વિગત પ્રમાણે તેઓ ગોંડલની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા, તેમની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BA સેમેસ્ટર-5ની પરીક્ષામાં ચેકિંગ સ્ક્વોડના ટીમ લીડર તરીકે કરવામાં આવી હતી. 9 ઓક્ટોબર, 2017ના રોજ તેઓ સુપાસીની અર્જુન આર્ટસ કોલેજમાં તપાસ માટે ગયા હતા. તપાસ દરમિયાન કોલેજ સંચાલકે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં સ્ક્વોડે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ચોરી કરવા દીધી નહોતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સ્ક્વોડની ટીમ પરત ફરી રહી હતી, ત્યારે સુપાસી બસ સ્ટેન્ડ પાસે અને ત્યારબાદ પાણીધ્રા-કોયલાણા વચ્ચે હુમલાખોરોએ ત્રણ વાહનો સ્વીફ્ટ, ક્રેટા અને સ્કોર્પીયો મારફતે તેમની કારને આંતરી હતી. 15થી 20 જેટલા માણસોએ લાકડી, પાઇપ અને બેઝબોલ સ્ટમ્પ જેવા હથિયારો વડે મહિપાલસિંહ અને દિલીપભાઈ ડાંગર પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્તોને કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે IPCની અલગ-અલગ 8 કલમો અને GPAની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. અર્જુન એજ્યુકેશન એકેડમી વિશે થયેલા એક-એક ખુલાસા ચોંકાવનારા હતા. એટલે ઇન્વેસ્ટિગેશના આગળના તબક્કામાં અમે સુપાસીના શૈક્ષણિક સંકુલમાં પહોંચ્યા. અમે સગી આંખે એ જ હકીકત જોઈ જેના વિશે અત્યાર સુધી સૂત્રો તેમજ ડોક્યુમેન્ટ મારફતે જાણ્યું હતું. માત્ર 20 ઓરડાનું જ સંકુલ હતું. જેમાં ઓફિસ અને સ્ટાફ રૂમ પણ આવી ગયો. સંકુલમાં CCTV કેમેરા તો હતા પરંતુ ફાયરસેફ્ટીના કોઈ સાધનો અમને દેખાયા ન હતા. અમે મુલાકાત લીધી ત્યારે સંચાલક દેવશી જોટવા પણ ત્યાં જ બેઠા હતા. તેમની સાથે ચાર-પાંચ લોકો પણ હતા. તેમણે શૈક્ષણિક સંકુલમાં ગેરરીતિ, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના રોલ વિશે જાણે “વટ” બતાવતા હોય એમ ઘણી ઓફ ધી રેકોર્ડ વાતો કરી. એટલું જ નહીં, આ વિસ્તારમાં પોતાનો દબદબો કઈ હદે છે એના દાખલા પણ આપી દીધા. દેવશી જોટવાનું વ્યક્તિત્વ અને વર્તન ઘણું કહી જતું હતું. હવે ઇન્વેસ્ટિગેશનના છેલ્લા પડાવમાં અમે વિદ્યાર્થીઓની સંખ્યા, કોલેજને નિયમોનું ઉલ્લંઘન કરીને મળેલી માન્યતા સહિતની સત્તાવાર જાણકારી મેળવવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળવાનું નક્કી કર્યું. પ્રતાપ ચૌહાણ છેલ્લા 8 મહિનાથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પદે છે. તેઓ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડીન રહી ચૂક્યા છે. તેમની સાથેની મુલાકાત દરમિયાન અમે અમે તેમને કેટલાક સવાલ કર્યા. દિવ્ય ભાસ્કર- ગ્રેજ્યુએશન શરૂ થયાના માત્ર એક વર્ષમાં જ માસ્ટરની પરમિશન કેવી રીતે મળી? વાઇસ ચાન્સેલર- આ અંગે અમને ફરિયાદ નથી મળી પરંતુ આ સંકુલ અંગેની અન્ય ફરિયાદ એક RTI દ્વારા થઈ છે. પરંતુ તે વ્યક્તિગત છે કે જનહિતની તે અંગે અમારી તપાસ ચાલે છે. જો એક વર્ષમાં માસ્ટરની પરમિશન મળી છે તે જે-તે સમયના કુલપતિ જે.પી.મયાણીએ આપી હશે. આ નિર્ણયને પણ ઘણા વર્ષ થઈ ગયા છે. જો આમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ હશે તો અમે તેના પર ચોક્કસ પગલા લઈશું. મારે આ અંગે જે.પી.મયાણી સાથે પણ વાત કરવી પડશે. દિવ્ય ભાસ્કર-સંકુલની જગ્યા જે હેતુ માટે આપવામાં આવી હતી તેનો હેતું ફેર થયો હોવાના આરોપ છે. શું કહેશો?વાઇસ ચાન્સેલર- આ અંગે અમારી તપાસ છે અમે રિપોર્ટ આપ્યો છે. જગ્યાની ફાળવણી ક્લેકટરના આદેશથી થઈ છે. ક્લેકટર ઓફિસમાંથી પણ તપાસ ચાલી રહી છે. દિવ્ય ભાસ્કર- જો નિયમ મુજબ સંકુલ ન હોય તો કોલેજની પરમિશન કેવી રીતે મળી?વાઇસ ચાન્સેલર- પરમિશન આપવાના નિર્ણય સમયે યુનિવર્સિટીની કમિટી ત્યાં ગઈ હશે અને નિયમ મુજબ બધા દસ્તાવેજો રજૂ કર્યા પછી જ પરમિશન મળી હશે. જો કોઈ દસ્તાવેજો ખોટા રજૂ કર્યા હશે તો તે અંગેની તપાસ બાદ ચોક્કસ કાર્યવાહી કરાશે. દિવ્ય ભાસ્કર- શું કોઈક રીતે રાજકીય દબાણ છે?વાઇસ ચાન્સેલર- યુનિવર્સિટીએ રાજકારણથી દૂર રહીને કામ કરવું જોઈએ. મને ક્યારેય કોઈ દબાણ નથી આવ્યું. અમે આ સમગ્ર મામલે અર્જુન શૈક્ષણિક સંકુલનું સંચાલન સંભાળતા દેવશીભાઈ જોટવા સાથે પણ વાતચીત કરી અને તેમનો ખુલાસો પૂછવાનો પ્રયાસ કર્યો. દિવ્ય ભાસ્કર- અમારે કોલેજને લઈને કેટલીક વાત પૂછવી છે. દેવશી જોટવા- તમે કોલેજને લગતી વાત યુનિવર્સિટીમાં પૂછી આવ્યા છો એ મને જાણ છે. તમારી પાસે જે લોકોએ માહિતી આપે છે એવું કંઈ નથી દિવ્ય ભાસ્કર- યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પાંચ એકર જમીન જોઈએ. દેવશી જોટવા- એ નિયમ વર્ષ 2012 પછીનો છે, અત્યારનો નથી અને ગુજરાતની દરેક કોલેજનો પ્રશ્ન છે. દિવ્ય ભાસ્કર- 2017માં સ્ક્વોડ સાથે મારામારીનો બનાવ બન્યો હતો, તે શું ઘટના હતી?દેવશી જોટવા- એ ઘટના કોલેજથી 35 કિલોમીટર દૂર હાઇવે ઉપર બની હતી. એ ઘટનાને કોલેજ સાથે કોઈ લેવાદેવા નથી. દિવ્ય ભાસ્કર- ઓરડામાં આટલું બધું કેવી રીતે મેનેજ કરો છો? દેવશી જોટવા- આ બધી વાત હું તમને રૂબરૂ મળીને કરીશ.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:00 am

થોડા સમયમાં લોકો જાયરોકોપ્ટર ઉડાવશે:એન્જિન ફેલ થઇ જાય તો પણ લેન્ડ થઇ શકે, જોયરાઇડથી લઇને સુરક્ષા માટે પણ ઉપયોગ થઇ શકશે

કલ્પના કરો કે રોજ તમે જે રીતે કાર, બાઇક કે એક્ટિવા ચલાવો છો એ જ રીતે હેલિકોપ્ટર ઉડાવવા લાગો તો કેવું લાગે?. આ શેખચલ્લી જેવો લાગતો વિચાર હવે હકીકત બનાવવા જઇ રહ્યાં છે ગુજરાતી રિટાયર્ડ વિંગ કમાન્ડર જયદેવ દેસાઇ. શાર્ક ટેન્કમાં પિચ કરીને આવેલા જયદેવ દેસાઈ ભારતમાં પહેલી હેલિકોપ્ટર ટ્રેનિંગ સ્કૂલ ખોલશે અને જાયરોકોપ્ટર તથા હેલિકોપ્ટર વેચશે, એ પણ સામાન્ય હેલિકોપ્ટર કરતાં ચોથા ભાગની કિંમતે. જાયરોકોપ્ટર દેખાવમાં હેલિકોપ્ટર જેવું લાગે છે પણ તેની ટેકનોલોજી અલગ છે. હેલિકોપ્ટરમાં રોટર અને એન્જિન કનેક્ટેડ હોય છે. જેથી એન્જિન ચાલુ કરતાં રોટર ફરવા લાગે. જેનાથી ટોર્ક ઉત્પન્ન થાય. એન્ટી-ટોર્ક માટે ટેલ હોય. જ્યારે જાયરોકોપ્ટરમાં રોટર અને એન્જિન વચ્ચે કોઈ કનેક્શન નથી હોતું. જેથી રોટર ફેરવવા માટે સ્પીડ જોઈએ. જાયરોકોપ્ટર ફરતું રહે એ માટે મિનિમમ 30 કિમી સ્પીડ જોઈએ. હેલિકોપ્ટર વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકે, જાયરોકોપ્ટર નહીં. જોકે જાયરોકોપ્ટર કોમ્પ્લિકેટેડ નથી એટલે જ ઇઝી ટુ ફ્લાય, મેન્ટેન અને કોસ્ટ ઇફેક્ટિવ છે. વેસ્ટર્ન દેશોની પોલીસ જાયરોકોપ્ટરનો ઉપયોગ કરે છે જાયરોકોપ્ટરનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે. સર્વેલન્સ સિક્યોરિટી, સ્ટેટ પોલીસ, SRP અને BSF પાસે આજે એરક્રાફ્ટ નથી. પરંતુ વેસ્ટર્ન દેશોમાં જેમ કે ન્યૂયોર્ક પોલીસ પાસે છે. ચીન પાસે જાયરોકોપ્ટરનું એક રેજિમેન્ટ છે. જેમાં કુલ 60 છે. એમણે અકસાઈ ચીનમાં મૂકેલા છે. ભારતમાં ડિફેન્સનું બજેટ મોટું હોવાથી મોંઘું અને મોટું એરક્રાફ્ટ ખરીદે છે. પણ પેરા-મિલિટરી ફોર્સ અને સ્ટેટ પોલીસ 50-100 કરોડ ન વાપરી શકે. એ આ ખરીદી શકે છે. જાયરોકોપ્ટરમાં 1 કલાકમાં 20 લિટર પેટ્રોલ વપરાય. 1 કલાકમાં 140 કિમી ચાલે છે. એ મુજબ 1 લિટરમાં લગભગ 7.5 કિમીની એવરેજ આપે છે. વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ એવીઆ ટ્રેનિંગ સોલ્યુશનના પ્રમોટર ડાયરેક્ટર અને સીઈઓ છે. તેમની કંપની અલ્ટ્રા-લાઇટ એરક્રાફ્ટ, જાયરોકોપ્ટર અને હેલિકોપ્ટરનું પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ કરે છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેમણે અમદાવાદમાં જ કર્યો હતો. ત્યારબાદ બિટ્સ પિલાનીથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. જૂન 1978માં તેઓ ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા અને 21 વર્ષની સેવા બાદ ડિસેમ્બર 1999માં પ્રિ-મેચ્યોર રિટાયરમેન્ટ લીધું. તેમણે કારગિલ યુદ્ધમાં સક્રિય ભાગ લીધો હતો. દિવ્ય ભાસ્કર સાથે જયદેવ દેસાઇ ખાસ વાતચીત કરતા કહે છે કે આજની તારીખે જાયરોકોપ્ટરની કિંમત 1.25 કરોડ, 1.40 કરોડ, 1.7 કરોડ જ્યારે હેલિકોપ્ટરની કિંમત 3.5 કરોડ છે. આની સામે યુએસએનું આર્ક-22 ટુ-સીટર હેલિકોપ્ટર જૂનામાં લગભગ 4.5 કરોડનું મળે છે. હેલિકોપ્ટરની ઊંચી કિંમતોને કારણે જ ભારતમાં હેલિકોપ્ટર પાયલટ ટ્રેનિંગ સ્કૂલ નથી.’ ‘આ 4 સ્ટ્રોક એન્જિન છે. જે અત્યારે એવિએશનમાં વપરાય છે. એ હાઈ-ઓક્ટેન પેટ્રોલ જ છે. જોકે એની જરૂર નથી, સામાન્ય પેટ્રોલથી પણ એ ચાલે છે. DGCA સાથે અમારી આ અંગે વાત ચાલે છે. એવિએશન ગેસની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં બે ગણી હોય છે. અમારો ટાર્ગેટ વર્ગ ઉપયોગ પ્રમાણે લગભગ બધા છે. સિક્યોરિટી સર્વેલન્સ માટે પેરા-મિલિટરી ફોર્સ, પોલીસ. એગ્રીકલ્ચર માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ફાર્મર, સરપંચ. ટ્રાન્સમિશન લાઇન માટે ઇલેક્ટ્રિક કંપની; સુપરવિઝન માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. ડેમ-કેનાલ માટે વોટર ડિપાર્ટમેન્ટ. ઉપરાંત લગ્નમાં એન્ટ્રી કરવી હોય અથવા ટુરિઝમના ઉપયોગ માટે પણ લઈ શકાય. અત્યારે ઇન્ક્વાયરી ઘણી આવી છે. અમે ગુજરાત સરકારને પણ પ્રપોઝ કર્યું છે કે આઠેક ટુરિઝમ સાઇટ પર જોયરાઈડ શરૂ કરીએ. એમણે કહ્યું છે કે તમે એરક્રાફ્ટ લઈ આવો, એ જોઈને MoU કરશે. અમે આ જ રીતે મહારાષ્ટ્ર સરકાર સાથે પણ વાત કરી છે. જાયરોકોપ્ટરની ઊંચાઇ 3 મીટર, લંબાઇ 8 મીટર અને પહોળાઇ 4 મીટર છે. જાયરોકોપ્ટર સૌથી સેફેસ્ટ છે. ’ જાયરોકોપ્ટરનું મેન્યુફેક્ચરિંગ ત્રણ સ્ટેજમાં થાય છેમેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અંગે તેઓ જણાવે છે કે, કોઈપણ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ ત્રણ સ્ટેજમાં થાય. 1. કીટ લઈને આવે અને એસેમ્બલ કરે. 2. બધું એસેમ્બલ ન હોય, ઘણું બધું ડિસમેન્ટલ અને છૂટા ભાગ લઈને એને એસેમ્બલ કરે. 3. બધા જ પાર્ટ અલગ હોય. બધું જ અહીંયા એસેમ્બલ થાય. ત્યારે લોકલ વેન્ડર પાસેથી પાર્ટ ખરીદો અથવા જરૂર પ્રમાણે પાર્ટ બનાવો. એમ ત્રણેક વર્ષમાં અમે વેન્ડર સાથે ટોટલ મેન્યુફેક્ચરિંગ શરૂ કરીશું. એનાથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. આના બે પર્પઝ છે એક કોઈને એવિએશનમાં બિઝનેસ શરૂ કરવો હોય તો 1 કરોડથી ઓછા રૂપિયામાં શરૂ કરી શકાય. 1 વર્ષમાં એક કરોડથી વધુ રૂપિયા કમાઈ શકાય. એ ખરીદવા લીધેલી લોન 2 વર્ષમાં રિપે કરી શકાય. અને બીજો જો કોઈની પાસે પાંચ-દસ કાર હોય તો વધુ એક કાર લેવાનો ફાયદો નથી. જાયરોકોપ્ટર લઈને હવામાં મુસાફરી કરી શકે છે. ‘અત્યારે અમે 3 કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. જાયરોકોપ્ટર આગળ-પાછળ સીટ અને સાઈડ-બાય-સાઈડ સીટ એમ બે પ્રકારના છે. આગળ-પાછળ સીટવાળું Carpenter Pagotto srl ઇટાલીથી, જ્યારે સાઈડ-બાય-સાઈડ Aviation Artur Trendak પોલેન્ડ અને હેલિકોપ્ટર Lamana Helicopter srl ઇટાલીથી લાવવાના છીએ. ત્રણેય અમારા સ્ટ્રેટેજિક પાર્ટનર છે. અમે એસેમ્બલ અને મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. ઉપરાંત 20 દેશોમાં માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુટ પણ કરી શકીશું.’ જયદેવ દેસાઇ કહે છે કે મેં નિવૃત્તિ પછી શરૂઆતમાં બિઝનેસ કર્યો જે સફળ ન રહ્યો. ત્યારબાદ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા અને સહજાનંદ જેવી કંપનીઓમાં પ્લાન્ટ હેડ અને બિઝનેસ હેડ તરીકે નોકરી કરી. બાદમાં સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટરમાં એડવાઇઝર તરીકે કામ શરૂ કર્યું. અને ગોદરેજ ડિફેન્સ અને આઈએન્ડબી ડિફેન્સ જેવી કંપનીઓના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે તેમજ ગુજરાતમાં CII ની ડિફેન્સ ટાસ્ક ફોર્સના કમિટી મેમ્બર પણ રહ્યો છું. ‘એરફોર્સની જોબ દરમિયાન મારી 3 મુખ્ય ઉપલબ્ધિઓ હતી. હમણાં જ રિટાયર થયેલા મિગ-21ની ઓવરહોલ રિપેર લાઇન મેં સેટઅપ કરી હતી. મિરાજ એન્જિનની રિપેર ઓવરહોલ લાઇન કાનપુરમાં મેં સેટઅપ કરી. મિરાજ એન્જિન, સાફરાજ એન્જિન અને રાફેલ એન્જિન માટે તેમણે મને ટ્રેન કર્યો હતો. અબ્દુલ કલામ એ જોવા માટે આવ્યા હતા. છેલ્લે મેં કારગિલ વોરમાં પણ ભાગ લીધો હતો. મારી પોસ્ટિંગ ગાંધીનગરમાં હતી. એ પછી 1999માં રિટાયર થયો.’ કંપનીની શરૂઆત અંગે તેઓ જણાવે છે કે 2019માં અમે એક કંપની શરૂ કરી. 2023માં DGCAએ જાયરોકોપ્ટર ભારતમાં લાવવાની પરમિશન આપી. ફેબ્રુઆરી 2024માં અમે કામ શરૂ કર્યું. અમારું પહેલું એરક્રાફ્ટ ગુજરાતમાં આવી ગયું છે. એને એસેમ્બલ કરીને ટેસ્ટ પણ થઈ ગયું છે. એના દ્વારા જોયરાઈડ, ટ્રેનિંગ સ્કૂલ વગેરે અમે ટૂંક સમયમાં શરૂ કરીશું. 2018માં સુરેન્દ્રનગરના MLA ધનજીભાઈ જર્મનીમાં એવિએશન એક્ઝિબિશન એટેન્ડ કરવા ગયા હતા. ત્યાં જાયરોકોપ્ટરનું મટિરિયલ જોઈને આવ્યા હતા. ‘પહેલા હું એકલો હતો પછી લોકો જોડાતા ગયા’'અમારા ચેરમેન એરમાર્શલ પી.કે. દેસાઈ પાસે આ જાયરોકોપ્ટર ભારતમાં લાવવા મદદ માંગી હતી. એમણે મને ફોન કરીને ધનજીભાઈને કહ્યું કે વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ તમને મદદ કરશે. પણ મેં રિસર્ચ કર્યા બાદ ખબર પડી કે DGCA અત્યારે આ જાયરોકોપ્ટર ભારતમાં લાવવાની પરમિશન નથી આપતું. ફાઇનલી, 2023 ઓક્ટોબરમાં તેમણે એપ્રુવ કર્યું. ફેબ્રુઆરીમાં હું ફરી એરમાર્શલ દેસાઈ પાસે ગયો કે સર, આનો બિઝનેસ ઘણો સારો છે, શરૂ કરીએ. ત્યારે હું એકલો હતો. પછી મારી સાથે લોકો જોડાતા ગયા. અમારી ટીમમાં બધા એરફોર્સ વેટરન છે. બધા પ્રુવન ટ્રેક રેકોર્ડ સાથે છે.' તેઓ જણાવે છે કે જે વ્યક્તિ લક્ઝરી કાર ખરીદી શકે એ વ્યક્તિ આ ખરીદી શકે છે. આજની તારીખે ભારતમાં આવા એકપણ જહાજ નથી પરંતુ આવનારા 5 વર્ષમાં ભારતમાં 5થી 10 હજાર એરક્રાફ્ટ ઉડતા હશે. અત્યારે ગુજસેલની પરમિશનથી અમે મહેસાણામાં સેટઅપ કર્યું છે. અમને ઇન્વેસ્ટમેન્ટ મળશે ત્યારે અમદાવાદની નજીક સેટઅપ કરીશું. વડનગર, મોરબી અને નવસારીમાં ટ્રેનિંગ સેન્ટર માટે વાત ચાલે છે. ભારતમાં આવા 20 સેન્ટર શરૂ કરવા માટે રાજીવ પ્રતાપ રુડી સાથે અમારી વાત ચાલે છે. એ માટે એરો ક્લબ ઓફ ઈન્ડિયા 20 હેલિકોપ્ટર અને 50 જાયરોકોપ્ટર અમારી પાસેથી ખરીદશે. અમે ચીફ ઓફ એર સ્ટાફ સાથે મીટિંગ કરીને પાયલોટ ટ્રેનિંગ હેલિકોપ્ટર માટે તેમને પણ પ્રપોઝલ આપ્યું છે.' ‘શાર્ક ટેન્કમાં અમને ઘણી સારી સલાહ આપી’શાર્ક ટેન્કનો અનુભવ શેર કરતા તેઓ જણાવે છે કે, શાર્ક ટેન્ક માટે જૂનમાં એપ્લાય કર્યું હતું. એના ત્રણેક સ્ટેજ હોય છે. પહેલા ફોર્મ ભરાય, પછી ક્વેશ્ચન થાય, પછી મુંબઈમાં ઓડિશન કરે, એ પછી ફાઇનલ શૂટ થાય. શૂટનો મતલબ એ નથી કે એપિસોડ ટેલિકાસ્ટ થશે. એમાંથી સિલેક્ટ કરીને પબ્લિશ કરે. એમણે અમને ઘણી સારી સલાહ આપી અને સુધારો કર્યો. અનુપમે અમને કહ્યું કે 'સર, હું તમારામાં ઇન્વેસ્ટ નથી કરતો કારણ કે હું ઇન્વેસ્ટ કરું ત્યારે કેટલીક વાર પ્રમોટરને ખખડાવવા પડતા હોય છે, પણ તમને હું ખખડાવી નહીં શકું જેથી હું ઇન્વેસ્ટ કરવા માંગતો નથી. ‘હું જોઉં છું કે 2-3 વર્ષમાં તમારા બેમાંથી એક અહીંયા શાર્કની સીટ પર બેઠા હશે.' મેં કહ્યું 10 વર્ષમાં એવીઆ યુનિકોર્ન બનશે.અત્યારે અમે પોતાનું ફંડ વાપરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટમેન્ટ શોધીએ છીએ.’

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:00 am

ફૂડ ડિલિવરી બોયનું કારસ્તાન:સુભાનપુરામાં કચરો નાખવા નીકળેલી નર્સને અડપલાં કરીને ભાગી ગયો

સુભાનપુરા વિસ્તારમાં હેલ્મેટ પહેરીને આવેલો ફુડ ડિલિવરી બોય ચાલતી જતી નર્સને શારીરિક અડપલાં કરીને ભાગી ગયો હતો. ઘટના અંગેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ઘટના બાદ નર્સ ખૂબ ગભરાઈ ગઈ હતી. જોકે તેમણે હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કાન પકડાવી માફી મગાવી હતી. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા શનિવારે રાત્રે 11-45 કલાકના અરસામાં કચરો ફેંકવા ચાલતી બહાર નીકળી હતી. દરમિયાન એક અજાણ્યો બાઈક ચાલકે નર્સને શારીરિક અડપલાં કરીને ભાગી ગયો હતો. નર્સ ગભરાઈ ગઇ છતાં તેણે હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે નર્સની છેડતી કરનાર દિવાળીપુરા શંકરપાર્ક સોસાયટીમાં રહેતા અમિત નટુભાઈ પઢિયારને પકડી પાડ્યો હતો અને મહિલા સામે કાન પકડાવી માફી પણ મગાવી હતી. પોલીસે તપાસ કરતાં અમિત સામે અગાઉ ગોત્રીમાં દારૂ પીધેલા હોવાનો કેસ નોંધાયો હતો. મહિલાઓની છેડતી કરનારા કોઇ પણ આરોપીને છોડાશે નહીંમહિલાની છેડતી કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જુદી-જુદી ટીમ બનાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. > કે.એન.લાઠિયા, પીઆઈ, ગોરવા પોલીસ સ્ટેશન ભાસ્કર ઇનસાઇડરાત્રે ખીચડીનો ઓર્ડર આવ્યો સીસીટીવી ફૂટેજથી પકડાયોરાત્રે 11-30 વાગ્યાની આસપાસ ફુડ ડિલિવરી એપ પરથી ઓનલાઇન ઓર્ડર લેવા અમિત પઢિયાર રાત્રે જઈ રહ્યો હતો. આ દરમિયાન નર્સ એકલી જણાતાં તેણે છેડતી કરી હતી. પોલીસે આખી રાત દરમિયાન 30થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી કાઢ્યા હતા. જેમાં સવારે 6 વાગ્યે કામનો સીસીટીવી મળ્યો હતો. તપાસ જલારામ ખીચડી સુધી પહોંચી અને ત્યાંથી અમિતની જાણકારી વધુ સ્પષ્ટ મળતાં પોલીસે તેને ઘરેથી પકડી કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:57 am

જીવલેણ હુમલો:અકોટામાં બાઈકને બ્રેક મારવા મુદ્દે ઇજનેર પર 2 શખ્સનો ચપ્પુથી હુમલો

સેવાસી કેનાલ રોડ ખાતે રહેતા યતીશ જાધવ સયાજીગંજની ઝવેરી સિક્યુરિટીમાં આઈટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. શનિવારે બપોરે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે કારે ટર્ન લેતાં યતીશે બાઇકને અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન યતીશની પાછળ આવી રહેલા બાઈક સવાર બે શખ્સો બ્રેક મારવાના મુદ્દે બોલાચાલી કરવા લાગ્યા હતા. તેઓએ યતીશને અપશબ્દો બોલી અચાનક બ્રેક કેમ મારે છે? તેમ કહી ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું. બંનેમાંથી એક યુવકે ચપ્પુ કાઢીને યતીશને સાથળના ભાગે મારી દીધું હતું. બંને જણા યતીશને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ મામલે જે.પી. રોડ પોલીસે તપાસ હાથ ધી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:54 am

પ્રજાનો અવાજ:માંજલપુરને સાંજે ટ્રાફિક,પાર્કિંગ પજવે છે, રહીશોને નવા બગીચાઓની પણ ઝંખના

શહેરના શાંત અને રમણીય વિસ્તાર માંજલપુરના રહીશો રસ્તા પર નીકળે ત્યારે દરરોજ સાંજે ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગના ભરડામાં ફસાઇ જાય છે. આ વિસ્તારને સૌથી મોટો, પજવતા પ્રશ્નો આ છે. બ્રિજ અને ગટર લાઇનની કામગીરી થઇ રહી હોવાથી કેટલાક રસ્તાઓ પર આ સમસ્યા વધુ વકરી છે. દિવ્ય ભાસ્કરે સ્થાનિક રહીશો સાથેના સંવાદમાં બીજી પણ કેટલીક સમસ્યાઓ સામે આવી. આ વિસ્તારની ફૂટપાથો કાંતો ખખડધજ છે, નજરે જ ચઢતી નથી, કાંતો લારીઓના દબાણોનો રાફડો ફાટ્યો છે. પાણીની સમસ્યા અનેક નગરો અને સોસાયટીઓમાં છે. પ્રમુખ પ્રસાદ, સુરભીપાર્ક, સપ્તગિરિ, નિર્માણપાર્ક, મોહન પાર્ક ઉપરાંત વિશ્વામિત્રી રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર. પાણીનું પૂરતું પ્રેશર આવતું નથી. લોકોએ જણાવ્યું આ વિસ્તારનો વિકાસ જ એવી રીતે થયો છે કે, મોટા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સીસ એવી જગ્યાએ છે કે, જેના લીધે સાંજે પાર્કિંગ, ટ્રાફિક જામ અને સૌથી જોખમી રોંગસાઇડ ડ્રાઇવિંગ વધ્યું છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો રસ અને આદેશ આ સમસ્યાના નિરાકરણનો રામબાણ ઇલાજ લોકો માને છે. આ ઉપરાંત માંજલપુરના જીઆઇડીસી તરફના છેવાડેં રહેતા રહીશોએ એક નવા હરિયાળા બગીચાનીએક ઝંખના જાહેર કરી હતી. શોપિંગ કોમ્પ્લેક્સો અને સાંકડા રસ્તાઓ સમસ્યા માટે જવાબદારમાંજલપુર વિસ્તારના લોકોએ જણાવ્યું કે, આ વિસ્તારોના રસ્તાઓ હવે સાંકડા પડે છે. કારણ કે માંજલપુરમાં ઠેર ઠેર શોપિંગ કોમ્પ્લેક્સો, હોટેલ-રેસ્ટોરન્ટ્સ એટલા ખુલ્યા છે કે, લોકો બહાર નીકળે છે, પાર્કિંગની જગ્યા ન હોવાથી રસ્તા પર પાર્કિંગ કરતા ટ્રાફિક અવરોધાય છે અને વાહનાના ધુમાડાને લીધે પ્રદુષણની સમસ્યા સર્જાય છે. દ્વિચક્રી વાહનચાલકોને સૌથી મોટી હાલાકી ભોગવવી પડે છે. સમસ્યા અંગે રહેવાસીઓનો મત

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:49 am

ગેસ વિતરણ પર તંત્રની બાજ નજર:ગેસ બોટલના સપ્લાયના મોનિટરિંગ માટે એજન્સી પર મહેસૂલ-પોલીસ કર્મી તૈનાત

શહેરમાં ગેસ બોટલનું સરેરાશ દૈનિક વેચાણ 15,575 થઇ રહ્યું છે. ગેસના બોટલોનો પૂરતો જથ્થો હોવાનો પુરવઠા વિભાગનો દાવો કર્યો છે. જોકે ખાડી દેશોમાંથી નવો જથ્થો ક્યારે આવશે તે વિશે તંત્ર પાસે કોઇ જાણકારી નથી. બીજી તરફ દરેક ગેસ એજન્સી પર રેવન્યુ અને પોલીસ કર્મચારીઓની તહેનાતી કરવામાં આવી છે. પુરવઠા વિભાગે 15 માર્ચે જાહેર કરેલા આંકડા મુજબ વડોદરા જિલ્લામાં ત્રણેય મુખ્ય કંપનીઓમાં કુલ 20,740 બોટલનો સ્ટોક ઉપલબ્ધ છે. જિલ્લામાં એલપીજીનું સરેરાશ દૈનિક વેચાણ 15,575 સિલિન્ડર છે. એલપીજી ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં નાગરિકો સુધી પહોંચે અને રાંધણ ગેસના જથ્થાનું કોઈ પણ પ્રકારે અનધિકૃત વેચાણ ન થાય તે માટે સરકાર દ્વારા સઘન મોનિટરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર દરેક ગેસ એજન્સીની બુકિંગ ઓફિસ તેમજ ગોડાઉન સ્થળેથી થતા બુકિંગ, સપ્લાય અને ડિલિવરીની પ્રક્રિયાનું પ્રત્યક્ષ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાના ચુસ્ત અમલીકરણ માટે દરેક ગેસ એજન્સીના સ્થળે કામકાજના સંપૂર્ણ સમય દરમિયાન એક મહેસૂલ કર્મચારી અને એક પોલીસ કર્મચારી સતત હાજર રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આદેશોના પાલન માટે જરૂરી પોલીસ બંદોબસ્ત અને મહેસૂલી સ્ટાફની ફાળવણી અંગેની આનુષંગિક વ્યવસ્થા તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી છે. પાઇપ્ડ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહક માટે ઘરેલુ સિલિન્ડર રાખવા પર પ્રતિબંધપાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન હોય તે વ્યક્તિ હવેથી ઘરેલુ ગેસ એટલે કે એલપીજી કનેક્શન રાખી શકશે નહીં. આ ઉપરાંત આવા ગ્રાહકો કોઈ પણ સરકારી તેલ કંપની કે તેમના વિતરકો પાસેથી ઘરેલુ ગેસ સિલિન્ડરનું રિફીલિંગ પણ મેળવી શકશે નહીં. જે વ્યક્તિઓ પાસે હાલમાં પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન છે, તેમણે તાત્કાલિક અસરથી પોતાનું ઘરેલુ ગેસ કનેક્શન પરત કરવાનું રહેશે. જે ગ્રાહકો પહેલેથી જ પીએનજી કનેક્શન ધરાવે છે તેમને નવું ઘરેલુ એલપીજી કનેક્શન પૂરું પાડવું અથવા ગેસ સિલિન્ડર રિફીલ સપ્લાય કરવો એ હવે પ્રતિબંધ કૃત્યો હેઠળ ગણાશે. બંને પ્રકારનાં કનેક્શન રાખનાર લોકો સામે કાર્યવાહી કરાશે. હોસ્પિટલ, છાત્રાલયો સહિતની સંસ્થાઓને પીએનજી જોડાણમાં અગ્રતા અપાશે: કલેક્ટરસરકારી અને ખાનગી હોસ્પિટલો, છાત્રાલયો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો અને અંધજન મંડળ જેવી સેવાભાવી સંસ્થાઓને તેમની તાકીદની જરૂરિયાત મુજબ કોમર્શિયલ ગેસનો જથ્થો ફાળવવામાં આવશે. સાથે જ આ સંસ્થાઓને તાત્કાલિક પીએનજી કનેક્શન મેળવી લેવા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા તાકીદ કરવામાં આવી છે. વડોદરા ગેસ લિમિટેડને આ સંસ્થાઓને ગેસ કનેક્શનમાં પ્રાથમિકતા આપવા પણ સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:45 am

વીજ કંપનીની ડિસ્કનેક્શન ડ્રાઇવ:MGVCLએ 55 લાખનાં બિલની વસૂલાત કરાઈ

એમજીવીસીએલે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ બાદ પણ માર્ચ મહિનામાં કાર્યવાહી ચાલુ રાખી હતી. રવિવારે જુદા-જુદા વિસ્તારમાંથી 102 ટીમે 2551 ગ્રાહકોના રૂા.55 લાખના બિલની રિકવરી કરી હતી. જ્યારે 59 ગ્રાહકના 72 હજારના બિલ બાકી હોવાથી મીટર કાઢી લેવા કે વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએની 122 ટીમે શનિવારે પણ વિવિધ વિસ્તારમાંથી 4290 ગ્રાહકના રૂા.97.06 લાખની રિકવરી કરી હતી અને 3 મીટર કાઢી લેવાયા હતા. આમ બે દિવસમાં 1.52 કરોડના પેન્ડિંગ બિલની રિકવરી કરાઈ હતી. એમજીવીસીએલે ગત 13 માર્ચે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરી હતી. માર્ચમાં 14.49 કરોડના બિલની વસૂલાતનો ટાર્ગેટ રાખ્યો હતો. તે માટે ખાસ 440 ટીમ બનાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવા નાણાકીય વર્ષમાં શહેરમાં 3.31 કરોડથી વધુ રકમનાં બિલ બાકી ન રહેવા જોઈએ તેવો ટાર્ગેટ રખાયો હતો. બીજી બાજુ ફેબ્રુઆરી મહિનામાં એમજીવીસીએલે 59 હજાર ગ્રાહકના રૂા.16.14 કરોડનાં બિલની રિકવરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:43 am

મંડે ફોટો સ્ટોરી:સયાજીગંજના જૂના સિટી બસ સ્ટેન્ડને મળશે નવી ઓળખ, બસો માટેનાં સ્ટેન્ડ તોડાયાં, હવે ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન બનશે

શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવા મહત્ત્વપૂર્ણ પગલું લેવાયું છે. સયાજીગંજમાં આવેલા જૂના સિટી બસ સ્ટેન્ડની જગ્યાએ 7 કરોડથી વધુના ખર્ચે નવું ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન અને આધુનિક બસ સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઇ-બસોના સંચાલનને સરળ બનાવવાનો છે. નવા ચાર્જિંગ સ્ટેશનથી ઇ-બસોને ઝડપથી ચાર્જ કરવાની સુવિધા મળશે, જેને કારણે જાહેર પરિવહન વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ બનશે. શહેરના કેન્દ્ર સ્થાને આવેલું આ બસ સ્ટેશન હજારો મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ હબ તરીકે કામ કરે છે. નવા પ્રોજેક્ટના અમલ પછી મુસાફરોને વધુ સુવિધાજનક અને આધુનિક જાહેર પરિવહન સેવા મળશે. નવા સિટી બસ સ્ટેશનમાં આ સુવિધા હશે

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:41 am

તંત્રની નિષ્ક્રિયતાને લીધે લોકો ભરાયા રોષે:સયાજીગંજમાં ગટરનો પ્રશ્ન ન ઉકેલાતાં સગીરને અંદર ઉતારીને પાણી ઉલેચ્યું

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા નજીક ભવાનીનગરમાં 6 મહિનાથી ગટર ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. પાલિકા તંત્રને ફરિયાદ કરી છતાં નિકાલ ન આવતાં અંતે રહીશોએ જાતે જ ગટરની સફાઈ શરૂ કરી હતી. ગટરમાં કિશોરને ઉતારી ડોલે-ડોલે ગંદું પાણી ઉલેચ્યું હતું. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસે ભવાની નગરમાં 6 મહિનાથી ડ્રેનેજ ઊભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓને અનેકવાર ફરિયાદો કરી હતી, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. 4 દિવસથી ગટરો ઊભરાઈને આસપાસના વિસ્તારમાં ફેલાતી હોવાની ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ તસદી લેવામાં નહીં આવતાં અંતે રહીશોએ જાતે ગટર સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. મહિલાઓએ એકત્ર થઈ કિશોરને ગટરમાં ઉતારી ગટરનું પાણી ઉલેચી વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, 6 મહિનાથી તકલીફ પડે છે, પરંતુ એક પણ વ્યક્તિ વિસ્તારમાં જોવા આવતો નથી. આ વિસ્તાર રેલવેમાં આવે છે તેમ કહી અધિકારીઓ છટકી જાય છે. ત્યારે નાછૂટકે આ વખતે જાતે જ ગટર સફાઈ કરવી પડી રહી છે. પહેલાં ગટર સાફ કરો પછી વોટ માગવા આવજોઃ રહીશોગટરની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ ચૂંટણી ટાણે વોટ માગવા આવતા નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ કહ્યું, વોટ માટે નેતાઓ વિસ્તારમાં આવે છે, પરંતુ સમસ્યાઓની ફરિયાદ કરીએ તો જોવા પણ નથી આવતા. આગામી દિવસોમાં મહાનગર પાલિકાની ચૂંટણી આવશે. અમે નેતાઓને ચોખ્ખું કહીએ છીએ કે, પહેલાં અમારા વિસ્તારની ગટરની સફાઈ કરો અને પછી જ વોટ માગવા આવજો. નહીં તો આ વખતે એક પણ વોટ નહીં મળે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:38 am

સિટી એન્કર:પાડોશી યુવતી સાથે વાત કરવા મુદ્દે દાદા-દાદીએ ઠપકો આપતાં સગીરા કમાટીબાગમાં પહોંચી, વૃદ્ધે છેડતી કરતાં અજાણ્યું દંપતી સાથે લઈ ગયું અને અભયમને કરી જાણ

કમાટીબાગમાં 17 વર્ષીય સગીરાની વૃદ્ધ દ્વારા છેડતી કરાતી હોવાની ત્રાહિત દંપતીએ અભયમને જાણ કરી હતી. જેને પગલે ટીમ સ્થળ પહોંચી હતી. અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, પાડોશી યુવતી સાથે વાતચીત કરવા બાબતે દાદા-દાદીએ ઠપકો આપતાં સગીરા શુક્રવારે પરોઢિયે 5 વાગે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. શુક્રવારે આખો દિવસ તે કમાટીબાગમાં બેઠી હતી. સાંજે વૃદ્ધ તેની છેડતી કરતો હોવાથી એક દંપતીએ તેને સાથે લઈ ગયું હતું અને આખી રાત પોતાની પાસે રાખી હતી. તે પછી શનિવારે બપોરે 11 વાગે દંપતીએ અભયમને જાણ કરી હતી. જે બાદ ટીમે દાદા-દાદીનું કાઉન્સેલિંગ કરીને સગીરાને તેનાં માતા-પિતાને સોંપી હતી. કારેલીબાગ સંગમ વિસ્તારમાં દાદા-દાદી સાથે રહેતી 17 વર્ષીય સગીરા ગુરુવારે રાત સુધી પાડોશમાં રહેતી યુવતી સાથે વાતો કરી રહી હતી. જેથી તેનાં દાદા-દાદીએ તેને બાબતે ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતાં શુક્રવારે પરોઢિયે 5 વાગે તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. જેથી દાદી-દાદીએ માતા-પિતાને જાણ કરી તેની શોધખોળ કરી હતી. બીજી બાજુ શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં દંપતીએ અભયમને ફોન કરી સગીરા વિશે જાણકારી આપી હતી. અભયમની ટીમ સગીરા પાસે પહોંચી ત્યારે દંપતી પણ હાજર હતું અને તેઓએ સમગ્ર બાબત જણાવી હતી. સગીરાએ ટીમને જણાવ્યું કે, તેને તેનાં દાદા-દાદી પાસે જવું છે. જેથી અભયમની ટીમ દાદા-દાદીને ઘરે પહોંચી હતી. ટીમને જાણવા મળ્યું કે, તેમના પાડોશમાં રહેતી છોકરી તેમની પૌત્રીને જુદા જુદા છોકરા સાથે મેળવે છે અને વાતચીત કરાવે છે. સગીરાએ જણાવ્યું કે, છોકરીએ તેને યુવકોના નંબર પણ આપ્યા હતા પણ તેણે વાત નથી કરી. અભયમની ટીમે માતા- પિતાને જાણ કરતાં તેઓ પહોંચી ગયાં હતાં. સગીરાને સમજાવ્યું કે, હાલ ભણવામાં ધ્યાન આપે. આ રીતે ઘર છોડીને જવું તે યોગ્ય નથી. દંપતીએ છેડતીની જાણ કોઈને ન કરી, સગીરાને સાથે લઈ ગયુંકોઈ વૃદ્ધ કમાટીબાગમાં શુક્રવારના રોજ મોડી સાંજે સગીરાની છેડતી કરી રહ્યો હતો. જેથી અજાણ્યું દંપતી સગીરાને પોતાની સાથે લઈ ગયું હતું. જોકે જે તે સમયે દંપતીએ પોલીસ કે અભયમને જાણ કરી નહોતી. આ સાથે સગીરા પણ દંપતી સાથે જતી રહી હતી અને તેમની સાથે આખી રાત રહી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:36 am

ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:સુરતમાં ટાંકી તૂટી પડી છતાં કોન્ટ્રાક્ટર પર ભરોસો યથાવત્, વડોદરામાં 2 પાણીની ટાંકીનું કામ ચાલુ !

સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ વખતે તૂટી પડી હતી. ભ્રષ્ટાચારને ભેટ ચઢી ગયેલી ટાંકી બનાવનાર જયંતીસુપર કન્સ્ટ્રક્શન પ્રા.લિ. નામના કોન્ટ્રાક્ટર વડોદરામાં 154.37 કરોડના ખર્ચે 2 ટાંકી સહિત અન્ય કામ કરી રહ્યા છે. જોકે સુરતના બનાવ બાદ વુડા દ્વારા કોન્ટ્રાક્ટરને બધા ટેસ્ટ ફરી કરાવવા પત્ર લખીને સંતોષ મનાઈ રહ્યો છે. વડોદરાના પૂર્વ સીમાડે આવેલા સયાજીપુરા, અણખોલ, ખટંબા, શંકરપુરા, હનુમાનપુરા, આમોદર, સિકંદરપુરા, જેસિંગપુરા, બાકરોલ, પવલેપુરા અને શ્રીપોર-ટીમ્બી ગામો સહિત 110 જેટલી સોસાયટી મળી 1.10 લાખ લોકો માટે વુડાએ પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ શ્રીપોર-ટીંબી ગામમાં એક 25 લાખ લિટરની અને બીજી 15 લાખ લિટરની ટાંકી, ફિલ્ટરેશન પ્લાન્ટ, સંપ તથા પાઇપ લાઇન નખાશે. 154.37 કરોડના પ્રોજેક્ટનું કામ મહેસાણાના કોન્ટ્રાક્ટર જયંતીસુપર કન્સ્ટ્રક્શને સોંપ્યું હતું. નવેમ્બર-2022થી જયંતીસુપર કન્સ્ટ્રક્શને કામ શરૂ કર્યું છે, જે 3 વર્ષમાં પૂરું કરવાનું હતું. આ કામમાં ચોમાસાના 3 મહિના બાકાત રખાયા હતા. જોકે હજી ઘણું કામ બાકી છે. દરમિયાન સુરતના તડકેશ્વરમાં જયંતીસુપર કન્સ્ટ્રક્શને બનાવેલી ટાંકી 19 જાન્યુઆરીએ ટેસ્ટિંગ વખતે કડડભૂસ થતાં રાજ્યભરમાં ચર્ચા જાગી હતી. આ બનાવમાં માંડવી પોલીસે કોન્ટ્રાક્ટર સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી. બીજી તરફ વુડાએ જયંતીસુપર કન્સ્ટ્રક્શન પર ભરોસો રાખી 154 કરોડનો કોન્ટ્રાક્ટ યથાવત્ રાખ્યો છે. સ્ટ્રક્ચર સર્ટિફિકેટ લેવા માટે કાગળ લખ્યો છેજયંતીસુપર કન્સ્ટ્રક્શને તડકેશ્વરમાં બનાવેલી ટાંકી તૂટ્યા બાદ ફરી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ મેળવી લેવા કાગળ લખ્યો છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને જાણ કરી છે કે જે ટેસ્ટિંગ કરવાના એ કરી રિઝલ્ટ મોકલો. > ડી.જી. પાઠક, ઈ. એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, વુડા ભાસ્કર એક્સપર્ટISI કોડ પ્રમાણિત મટિરિયલ છે કે કેમ તે તપાસવું જોઈએથર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ જવાબદારી એકબીજાના માથે નાખવાનું હાથવગું સાધન છે. મટિરિયલની ગુણવત્તા ચકાસવા સાઇટ ઇજનેરે રેગ્યુલર વિઝિટ કરવી જોઈએ. ટેન્ડરની શરત મુજબનું ISI કોડ પ્રમાણિત મટિરિયલ આવ્યું છે કે નહીં એ ચેક કરવું જોઈએ. ટાંકી બાંધવાના કોડ જુદા હોય છે. મેથડ ઓફ કન્સ્ટ્રક્શન ચેક થવી જોઈએ. - ડૉ.આઈ.આઈ. પંડ્યા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર 2022માં કામ શરૂ કર્યુ, 3 વર્ષમાં પૂરું કરવાનું હતું, હજુ અધૂરું

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:30 am

માનવ કલ્યાણ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો‎:મોરબીમાં મહિલાઓને સોફ્ટ સ્કિલ્સ, ઓનલાઇન પેમેન્ટ અંગે માહિતગાર કરાયા

મોરબી ખાતે કાર્યરત અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ અંતર્ગત ગુજરાત માટીકામ કલાકારી અને રુરલ ટેકનોલોજી સંસ્થાન (ગુજરાત સરકારની સંસ્થા), સેક્ટર-12 ગાંધીનગર ના સહયોગથી માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ મોરબી ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ તાલીમ દરમિયાન ભાગ લેનાર બહેનો અને યુવાનોને સોફ્ટ સ્કિલ્સ,ઉદ્યોગ સાહસિકતા,ઓનલાઈન પેમેન્ટ અંગે માહિતી માર્કેટિંગ સ્કીલ્સ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા . પાંચ દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને વ્યવસાય શરૂ કરવો, વ્યવસાય સંચાલન, ગ્રાહક વ્યવહાર, ડિજિટલ ચુકવણી અને બજારમાં ઉત્પાદનનું યોગ્ય માર્કેટિંગ કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અર્પિત મહિલા ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના ટીમ મેમ્બર ધર્મેશભાઈ તથા અન્ય સભ્યોના સહયોગથી કરવામાં આવ્યું હતું. અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા આવી તાલીમ પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:03 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર; ઈરાન બોલ્યું- નેતન્યાહુને શોધીને મારી નાખીશું; કિંજલ રબારી બાદ હવે ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માંગ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પશ્ચિમ બંગાળ-આસામ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાતના રહ્યા. બીજા સમાચાર ઈરાનના છે, તેણે ધમકી આપી છે કે તેઓ નેતન્યાહુને શોધીને મારી નાખશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. 10 રાજ્યોની 11 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી થશે. 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. 2. સંસદમાં બજેટ સત્રની કાર્યવાહીના બીજા તબક્કાનો છઠ્ઠો દિવસ છે. સંસદમાં LPG ના મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા છે. કાલના મોટા સમાચારો 1. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન:તમિલનાડુમાં 23 એપ્રિલે, આસામ-કેરળ-પુડુચેરીમાં 9 એપ્રિલે વોટિંગ; ગુજરાતના ઉમરેઠમાં 23 એપ્રિલે પેટાચૂંટણી; 4 મેએ તમામના પરિણામ ચૂંટણી પંચે રવિવારે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી. તમિલનાડુમાં સિંગલ ફેઝમાં 23 એપ્રિલે મતદાન થશે. જ્યારે, બંગાળમાં બે ફેઝમાં 23 અને 29 એપ્રિલે મતદાન થશે. ત્રણ રાજ્યો કેરળ, આસામ અને પુડુચેરીમાં સિંગલ ફેઝ એટલે કે 9 એપ્રિલે મતદાન થશે. પાંચેય રાજ્યોનું પરિણામ 4 મેના રોજ આવશે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટાચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે પાંચ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 17.4 કરોડ મતદારો છે. અહીં 824 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને કહ્યું- જો નેતન્યાહૂ જીવે છે તો તેને શોધીને મારીશું: બાળકોનો હત્યારો છે; નેતન્યાહૂની હત્યાનો દાવો ઇઝરાયલે ફગાવ્યો ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને શોધીને મારવાની ધમકી આપી હતી. 'અલ જઝીરા' મુજબ, IRGC એ કહ્યું કે, બાળકોનો હત્યારો જો જીવિત છે, તો અમે પૂરી તાકાતથી તેનો પીછો કરીશું અને તેને મારી નાખીશું. નેતન્યાહુનો 13 માર્ચના રોજ એક વીડિયો સંદેશ સામે આવ્યો હતો. આ વીડિયોના એક ફ્રેમમાં તેમના જમણા હાથમાં છ આંગળીઓ હોવાનો દાવો કરવામાં આવ્યો. ત્યારબાદ એવો પણ દાવો કરવામાં આવ્યો કે નેતન્યાહુની હત્યા થઈ ગઈ છે. પરંતુ ઈઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે વડાપ્રધાન સુરક્ષિત છે અને આવા અહેવાલો ફેક ન્યૂઝ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, એક આતંકી ઠાર:બુછારમાં ઓપરેશન DIGGI-2 ચાલુ; પૂંછમાં ઓપરેશન શેરીકલાં દરમિયાન જવાન શહીદ કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં 'ઓપરેશન DIGGI-2' દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે ભારતીય સેનાના જવાનોએ નિયંત્રણ રેખા એટલે કે LoC પાસે કેટલીક હલચલ જોઈ. ત્યારબાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું. 14-15 માર્ચની રાત્રે બુછાર વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીએ ફાયરિંગ શરૂ કરી દીધું. આમાં આતંકવાદી માર્યો ગયો. સેનાએ આતંકવાદી પાસેથી હથિયારો જપ્ત કર્યા છે, જેમાં એક AK રાઇફલ, પિસ્તોલ અને દારૂગોળો શામેલ છે. ઓપરેશન હાલમાં ચાલુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 950નો બાટલો રૂ. 3500માં મળે છે:ગેસ એજન્સીઓ પર સવારે 4 વાગ્યાથી લાઈનો લાગી; સુરતમાં રેલવે સ્ટેશને ભીડ, લોકો વતનની વાટ પકડી અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશમાં LPG સંકટ વધી ગયું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ-ચંદીગઢ, હરિયાણા અને રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં સિલિન્ડર માટે સવારથી જ ગેસ એજન્સીઓ અને ગોડાઉન પર લાઇનો લાગી ગઈ છે. LPG સંકટને કારણે ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ વધી ગઈ છે. 950 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર 3500 રૂપિયામાં અને 2 હજાર રૂપિયાનો કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં 5 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે. સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોના ગેસ સંકડ વચ્ચે હવે ધીરજનાં બાણ ખુટી જતાં અને કોરોનાકાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી વતનની વાટ પકડી રહ્યાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ગિલ-મંધાના બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર:2 વર્ષમાં ICC ટ્રોફી જીતનારી પાંચેય ટીમો સન્માનિત, દ્રવિડ-મિથાલીને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાને રવિવારે BCCI ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે BCCI દ્વારા 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્ની અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને કર્નલ સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. BCCI રવિવારે દિલ્હીમાં નમન એવોર્ડ 2026નું આયોજન કર્યું. આ દરમિયાન ભારતીય મહિલા ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજને BCCI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. આ સાથે અંડર-19 ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેને ડોમેસ્ટિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે લાલા અમરનાથ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગાંધીનગરમાં સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો:રાજકારણીના પોલીસ પ્રોટેકશનની અરજીમાં પોઝિટિવ અભિપ્રાય આપવા લાંચ માગી હતી ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો છે. ગુજરાતમાં આ કદાચ IBનો પ્રથમ PI હશે જે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હોય. આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કિંજલ રબારી બાદ હવે ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માંગ:રૂની ગામની ચૌધરી સમાજની દીકરીને ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ, 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન વાવ-થરાદ અને ભાભર પંથકમાં સામાજિક સૌહાર્દ અને દીકરીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં શિનાવાડની સિંગર કિંજલ રબારીના કિસ્સામાં ચૌધરી સમાજે મધ્યસ્થી કરી દીકરીને પરત સોંપ્યા બાદ, હવે રૂની ગામના ચૌધરી સમાજના પરિવારે પણ પોતાની દીકરીને પરત મેળવવા રબારી સમાજ અને પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી છે. રૂની ગામની ચૌધરી સમાજની દીકરીને ઉણ ગામનો એક રબારી યુવક ભગાડી ગયો હોવાનો આક્ષેપ છે. પરિવારના જણાવ્યા અનુસાર આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી. દીકરીના પિતા જગમાલભાઈએ આક્ષેપ કર્યો છે કે, દીકરી ઘરમાંથી દાગીના લઈને ગઈ છે અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા પૂરતો રસ લેવામાં આવ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાજસ્થાનમાં બોમ્બ બ્લાસ્ટ માટે પાકિસ્તાનથી IED મોકલવામાં આવ્યું:4 દિવસ સુધી આરોપીઓ વિસ્ફોટકોની રાહ જોતા રહ્યા, 3 જગ્યાએ બ્લાસ્ટનું ષડયંત્ર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : નેપાળમાં 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત:મનકામના મંદિરથી પરત ફરતી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ડ્રાઇવર બચી ગયો; 7 ગંભીર રીતે ઈજાગ્રસ્ત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મોદીને નીચ નહીં, નીચ જાતિના માણસ કહ્યા હતા:મણિશંકરે કહ્યું- તેમનું ચારિત્ર્ય નીચ, જૂઠું બોલીને- ખોટી વાતો ફેલાવીને વડાપ્રધાન બન્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : યુદ્ધ વચ્ચે 2 લાખ બાળકો ઘરવિહોણા, PHOTOS:ખુલ્લા મેદાનમાં પડેલી મિસાઈલ સાથે રમતો બાળક, હુમલાઓ વચ્ચે ભય-રસ્તા પર વિતી રહ્યું છે બાળપણ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : IPO ના પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોમાં ફેરફાર:મિનિમમ લિમિટ 5% થી ઘટાડીને 2.5% કરી, જિયો અને NSE નું લિસ્ટિંગ સરળ બનશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રેપના આરોપ બાદ RCBના બોલર યશ દયાલે કર્યા લગ્ન:પત્ની શ્વેતા છે જાણીતી ઈન્ફ્લુએન્સર, ક્રિકેટ જગતમાંથી કોઈ ન પહોંચ્યું; પરિવાર-મિત્રોની હાજરીમાં ફર્યા સાત ફેરા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યદેવનું મીન રાશિમાં ગોચર:કર્ક અને કુંભ જાતકોના ધન-વૈભવમાં વધારો થશે, સિંહ જાતકોના મિલકતના પ્રશ્નો ઉકેલાશે; 12 રાશિ પર શું અસર થશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ સૌથી લાંબા કાનવાળો ગધેડો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ અમેરિકાના જ્યોર્જિયામાં ‘હોપ’ નામના એક ગધેડાએ સૌથી લાંબા કાનનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ગધેડાના કાનની લંબાઈ 40.20 સેન્ટિમીટર, એટલે કે અંદાજે 1 ફૂટ 3 ઈંચ છે. તેના કાન 12 ઈંચના સબવે સેન્ડવિચ કરતા પણ મોટા છે. આ પહેલા બ્રિટનના ‘બમ્બૂ’ નામના ગધેડાના નામે આ રેકોર્ડ હતો. ઉત્તર પ્રદેશમાં એક શખસે નકલી દસ્તાવેજોના આધારે બે સરકારી નોકરીઓ મેળવી લીધી અને લગભગ 33 વર્ષ સુધી બંને વિભાગોમાંથી પગાર લેતો રહ્યો. આ મામલો RTI દ્વારા બહાર આવ્યો છે. કોર્ટે આરોપીને 7 વર્ષની કેદ અને ₹30,000નો દંડ ફટકાર્યો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભક્તોનાં દાનથી કે સરકારી જમીન હડપીને બન્યા આસારામના આશ્રમ?: શી રીતે સર્જાયું ₹10 હજાર કરોડનું સામ્રાજ્ય? જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 2. આજનું એક્સપ્લેનર: CEC જ્ઞાનેશ કુમારે ચૂંટણીની તારીખો જાહેર કરી, વિપક્ષ તેમને પદ પરથી હટાવવાની તૈયારીમાં; શું છે મમતા બેનર્જીનો આ રાજકીય દાવ? 3. સન્ડે બિગ સ્ટોરી : કોણ છે દુબઇમાં ભારતીયોની મદદ કરનારા ધીરજ જૈન?: બુર્જ ખલીફાના 141મા માળે ઓફિસ, 80 હજાર સ્ક્વેર ફૂટનું ફાર્મ હાઉસ; લોકો છૂટા પડ્યાં ત્યારે આંખમાં આંસુ હતા 4. ખાખી કવર :દેશનો સૌથી ‘ફેમસ’ સિરિયલ કિલર ‘ઑટો શંકર’: 6 હત્યા, 5 પત્ની, બે વેશ્યાગૃહો ચલાવ્યા, નેતાઓને સ્ત્રીઓ સપ્લાય કરી, જેલ તોડી છેલ્લે ફાંસીએ ચડ્યો 5. બંગાળમાં પરિવર્તન યાત્રા શું BJPને જીત અપાવશે: ભીડ ઓછી, લોકો બોલ્યા- BJPને વોટ આપીએ પરંતુ બોલવામાં જીવનું જોખમ 6. સંડે જઝબાત: પોતાના 4 દીકરા-દીકરીને ઝેર આપીને કેવી રીતે મારું?: તે આખો દિવસ પથારીમાં પડ્યા રહે છે; લગ્ન કરવાની ઉંમરે ચમચીથી જમાડું છું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મેષ-કુંભ રાશિના સપના સાકાર થશે, મિથુન રાશિને કરિયરમાં મળશે મોટી સફળતા; જાણો તમારો દિવસ કેવો રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:00 am

આધેડને ક્રૂરતાથી મારનાર ઝડપાયા:મોરબી શહેરમાં જમીન દલાલના હત્યા પ્રકરણમાં ફરાર વધુ બે આરોપી ઝડપાયા

મોરબીના વિસીપરામા રહેતાં અને જમીન મકાન લે વેચના ધંધાર્થીનું થોડા સમય પહેલાં લાલબાગથી અપહરણ કરી માર મારી હત્યા કરી દેવાઈ હતી. તેનો કોઇ આતોપતો ન મળે તે માટે તેની લાશ પીપળી રોડ પર આવેલી બંધ ફેક્ટરીના પરિસરમાં ખાડો ખોદીને દાટી દેવાઈ હતી અને તેના પર કોંક્રિટ ભરી ધાબુ ભરી પુરાવાનો નાશ કરાયો હતો. આ ઘટનામાં પોલીસે 7 શખ્સ સામે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી હતી અને બે આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન આ બન્ને ફરાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જે તે સમયે આ ઘટનાએ મોરબીમાં ચર્ચા જગાવી હતી. મોરબીના વીસીપરામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીની તાજ મહંમદ ભટ્ટીની ગત તા 19 ના રોજ લાલબાગ નજીકથી વાતચીત કરવાના નામે બાલુભાઈ અઘારા તેની કારમાં બેસાડી અપહરણ કરી ભડીયાદ નજીક ફાર્મ હાઉસમાં લઈ જવાયા બાદ તેને 6 શખ્સએ ઢોર માર માર્યો હતો અને એક ઓરડીમાં ગોંધી રાખ્યો હતો જ્યાં તેનું ઇજાના પગલે મોત નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. માર માર્યા બાદ તાજ મહંમદ ભટ્ટીનું મોત થતાં આરોપીઓ ડરી ગયા હતા અને આરોપીઓએ બેલા ગામ નજીક ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ખાડામાં લાશને ડીઝલથી સળગાવી દઈ બાદમાં દાટી દીધી હતી, ઉપર માટી પાથરી તેની ઉપર ક્રોંક્રિટનું ધાબું ભરી દીધું હતું. આ ઘટનામાં 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, જીતેશ બાલુભાઈ ઝાલરિયા, ભાવેશ થોભણભાઈ અધારા ફરાર હતા જેને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:57 am

કેસરબાગનું થશે કાયાપાલટ:મોરબીના કેસરબાગને સ્માર્ટ પાર્ક તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું 25% કામ પૂર્ણ

મોરબી શહેરના વિકાસમાં નવું છોગું ઉમેરતા મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ કેસરબાગને સ્માર્ટ પાર્ક બનાવવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું 25 ટકા જેટલું ભૌતિક કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટમાં વહીવટી સરળતા માટે વોર્ડ ઓફિસ અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે આધુનિક બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કેસરબાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી કમ્પાઉન્ડ વોલ અને સુરક્ષા કેબિનનું પાયાનું કામ તેમજ સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક પૂર્ણતાના આરે છે. ગ્રાઉન્ડ લેવલિંગમાં સ્ટોન વોક-વે અને ડ્રેનેજ સિસ્ટમ માટેનું માર્કિંગ અને લેવલિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હરિયાળી માટેની તૈયારીમાં ડ્રિપ ઈરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમ માટેની પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી સુવિધાઓમાં યોગા એરિયાનું ફ્લોરિંગ, બાળકો માટેના પ્લે-ગાર્ડન ઇક્વિપમેન્ટ્સની ફિટિંગ અને પ્રતિમા સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ મેટલ બેન્ચીસ અને સુશોભિત વૃક્ષોના વાવેતરની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ મોરબીવાસીઓને એક જ સંકુલમાં વહીવટી કામગીરી, વાંચન અને માનસિક શાંતિ માટેનું શ્રેષ્ઠ સ્થળ પ્રાપ્ત થશેતેવું મનપાએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:56 am

વિવિધ દૂષણો સામે કોંગ્રેસ મેદાને‎:કોંગ્રેસની સમાજ રાષ્ટ્ર બચાવો ઝુંબેશ 200 લોકોને પ્રાથમિક સભ્યપદ અપાયું

જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે જનજાગૃતિ અને સંગઠન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમાજ અને રાષ્ટ્ર બચાવો ઝુંબેશ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સ જેવા સામાજિક દૂષણો સામે અવાજ ઉઠાવવાનું આયોજન કરાયું હતું. આ સાથે જ પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈને 200 નવા સભ્યોને કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ આપી પક્ષમાં જોડાશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ વિવિધ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલા દિવ્યશક્તિ પાર્ટી પ્લોટ ખાતે બપોરે કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થશે. કોંગ્રેસ સમિતિ દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ વર્તમાન સમયમાં વકરી રહેલા ભ્રષ્ટાચાર, આરોગ્ય ક્ષેત્રે જોવા મળતી બેદરકારી અને આઇકોનિક રસ્તાના નામે જનતા સાથે થઈ રહેલી છેતરપિંડી જેવા મુદ્દાઓ પર આક્રમક રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. ખાસ કરીને યુવા પેઢીને બરબાદ કરી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે સમાજને જાગૃત કરવા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આપનો હાથ, કોંગ્રેસનો સાથ અને દેશ બચાવો, કોંગ્રેસ લાવોના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો, કાર્યકરો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રહિતમાં જોડાવવા માંગતા હોય તેઓને સ્થળ પર જ 200 લોકોને પ્રાથમિક સભ્યપદ અપાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નૌશાદભાઇ સોલંકી, ઋત્વીકભાઇ મકવાણા, વિક્રમભાઇ રબારી, શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:46 am

ગામ ગામની વાત:ચોટીલાનું નાના પાળીયાદ પશુપાલન, ખેતી થકી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ‎

સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાથી માત્ર 4 કિલોમીટરના અંતરે ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં વસેલું નાના પાળીયાદ ગામ આજે પ્રગતિશીલ ગ્રામીણ જીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મુખ્યત્વે ભરવાડ અને કોળી પટેલ સમાજની વસ્તી ધરાવતું આ ગામ આધુનિક સુવિધાઓ અને પરંપરાગત વ્યવસાયોના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. 1400થી વધુ વસ્તી ધરાવતા નાના પાળીયાદ ગામમાં સામાજિક સમરસતા અને ધાર્મિક આસ્થાના દર્શન થાય છે. ચોટીલાના ભાગોળે ચામુંડા માતાજી ડુંગરની પાસે ચોટીલાથી 4 કિલોમીટર દૂર નાના પાળીયાદ ગામ આવેલું છે. નાના પાળીયાદ ગામમાં ભરવાડ અને કોળી પટેલ લોકો વસવાટ કરે છે. ગામની કુલ અંદાજિત વસ્તી 1400થી વધારે છે. ગામમાં મતદારયાદી પ્રમાણે 515 પુરુષ, 465 મહિલા નોંધાયેલા છે. ધાર્મિક તહેવારોમાં ગામ લોકો ઉત્સવ હળીમળીને ઉજવે છે. નાના પાળીયાદ ગામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેત મજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેતીમાં કપાસ, મગફળી, ઘઉં, બાજરી, જુવાર, ડુંગરી અને શાકભાજી જેવા રોકડિયા પાકો લેવામાં આવે છે. નાના પાળીયાદ ગામમાં ઠાકર મંદિર, ચરમારીયા દાદાનું મંદિર ગામ લોકોના આસ્થાના મંદિર છે. નાના પાળીયાદ ગામમાં ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલા છે. ગામમાં 1,000થી વધારે પશુઓની સંખ્યા ધરાવે છે. તે દૂધ મંડળીમાં દૂધ આપીને આજીવિકા મેળવે છે. નાના પાળીયાદ ગામમાં પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ સુધી 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વધુ અભ્યાસ અર્થે ચોટીલા જવું પડે છે. નાનાપાળિયાદ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા દરરોજ પાણી વિતરણ કરવામાં આવે છે. ગામ લોકો માટે બેંક ઓફ બરોડાના બીસી પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ગામ લોકોને બેંકને લગતી કામગીરી ગામમાં બેંકની સુવિધા મળી રહે છે. ગ્રામ પંચાયત દ્વારા તળેટી વિસ્તારમાં ગામ લોકોને જગ્યા ભાડે આપેલી છેનાના પાળીયાદ ગામ વિસ્તારમાં ચામુંડા માતાજી ડુંગર અને તળેટી આવેલા છે અને ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને તળેટી વિસ્તારમાં જગ્યા ભાડે આપીને ગામ લોકો દ્વારા તળેટી વિસ્તારમાં નારીયેર, પ્રસાદ, કટલરી, રમકડા વગેરે વિવિધ કામ ધંધા કરીને આવક ઉભી કરવામાં આવે છે. પાળીયાદથી ચોટીલા રોડ બનાવવા માંગચોટીલા તાલુકાના નાના પાળીયાદ ગામલોકો દ્વારા જણાવતા નાના પાળીયાદથી ચોટીલાનો રસ્તો બિસમાર હાલતમાં છે. તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવે તેવી ગામ લોકોને લોક માંગણી છે. નાના પાળીયાદ વિસ્તારમાં ચોટીલાની બીએસએનએલ ઓફિસ વન વિભાગની ઓફિસ બીઆરસી ભવન અને આઈટીઆઈમાં આવેલા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:43 am

સમસ્યા:જિલ્લા પંચાયતના વિકાસ કામોમાં થઇ રહેલો વિલંબ

ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં મંજૂર કરાયેલા વિકાસ કામોમાં ગંભીર વિલંબ સામે આવ્યો છે, જેને લઈને કામગીરીની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા છે. વર્ષ 2023 થી 2026 દરમિયાન જિલ્લા પંચાયતે કુલ 458 વિકાસ કામોને મંજૂરી આપી હતી. પરંતુ તેમાંમાંથી અત્યાર સુધી માત્ર 242 કામો પૂર્ણ થયા છે, એટલે કે લગભગ 53 ટકા કામો જ પૂર્ણ થઈ શક્યા છે. તેમાં પણ ચિંતાજનક બાબત એ છે કે પૂર્ણ થયેલા કામોમાંથી માત્ર 17 કામો જ નક્કી કરેલા સમયમર્યાદામાં પૂર્ણ થયા છે. બાકી રહેલા કામોની સ્થિતિ વધુ ચિંતાજનક છે. 115 કામો હજુ સુધી બાકી છે અને તેમની સમયમર્યાદા પણ પસાર થઈ ગઈ છે. જ્યારે 68 કામોનું કામ તાજેતરમાં જ શરૂ થયું છે. ઉપરાંત 16 કામોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અથવા તેને રદ કરવામાં આવ્યા છે. વર્ષવાર આંકડાઓ જોતા કામગીરીમાં મોટો ઘટાડો દેખાય છે. વર્ષ 2023-24 દરમિયાન પંચાયતે 250 કામોને મંજૂરી આપી હતી અને તેમાંમાંથી 204 કામો પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી, જે લગભગ 82 ટકા પૂર્ણતા દર દર્શાવે છે. પરંતુ ત્યારબાદના વર્ષોમાં સ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વર્ષ 2024-25 દરમિયાન 101 કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમાંમાંથી માત્ર 32 કામો પૂર્ણ થઈ શક્યા હતા. હાલના વર્ષ 2025-26 માં તો સ્થિતિ વધુ ખરાબ રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:41 am

7 વર્ષ બાદ ફરી ‘ટિફિન બેઠક’નો દોર શરૂ:મનપા ચૂંટણી પહેલાં ભાજપનું કાર્યકર્તા સંપર્ક અભિયાન તેજ

ગાંધીનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ દ્વારા સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી છે. લાંબા સમય બાદ ફરી એકવાર શહેરના તમામ 11 વોર્ડમાં ‘ટિફિન બેઠક’ યોજવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આગામી એક અઠવાડિયામાં તમામ વોર્ડમાં આ બેઠકો પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આહ્વાન પર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષ દવેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ શરૂ થયો છે. મનપાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક વધારવો અને સંગઠનને પાયાના સ્તરે સક્રિય બનાવવો એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માનવામાં આવે છે. શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ જણાવ્યું હતું કે, ભાજપની કાર્યપદ્ધતિમાં ટિફિન બેઠક માત્ર ભોજનનો કાર્યક્રમ નથી, પરંતુ કાર્યકર્તાઓ વચ્ચે આત્મીયતા, સંવાદિતા અને પારિવારિક ભાવના વધારવાનું મહત્વનું માધ્યમ છે. આવી બેઠકોમાં પક્ષની વિચારધારા, આવનારા કાર્યક્રમો તેમજ સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા થતી હોવાથી છેવાડાના કાર્યકર્તા સુધી સંદેશ સરળતાથી પહોંચે છે. ટૂંકમાં, ટિફિન બેઠક સંગઠનને વધુ સક્રિય, જીવંત અને શક્તિશાળી બનાવવાનું એક અસરકારક સાધન છે. તાજેતરમાં સેક્ટર-22 વિસ્તારમાં મહાનગરના મુખ્ય હોદ્દેદારોની ટિફિન બેઠક યોજાયા બાદ વોર્ડ સ્તરે બેઠકોનો દોર શરૂ થયો છે. અત્યાર સુધી વોર્ડ નં. 3, 6 અને 8માં બેઠકો પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકીના વોર્ડોમાં પણ આગામી દિવસોમાં આ કાર્યક્રમ યોજાશે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે મનપાની ચૂંટણી પહેલાં ભાજપ સંગઠનને વધુ ગોઠવાયેલું બનાવવા અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક મજબૂત કરવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. નોંધનીય છે કે શહેરમાં છેલ્લે લગભગ સાત વર્ષ પહેલાં આ પ્રકારની ટિફિન બેઠકો યોજાઈ હતી અને હવે ફરી શરૂ કરાતા રાજકીય ગરમાવો વધ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:40 am

માનવતાનું ઉત્તમ ઉદાહરણ:જોરાવરનગરમાં બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરતા સમાજ સેવકો

જોરાવરનગર ખાતે તારીખ 06/03/2026ના રોજ આવેલી ઉપાસના હોસ્પિટલ નજીક એક બિનવારસી હાલતમાં મૃતદેહ પોલીસને મળ્યો હતો. અનેક દિવસો સુધી તપાસ અને રાહ જોવામાં આવી છતાં આજદિન સુધી મૃતકના કોઈ પરિવારજન અથવા ઓળખાણ મળી ન આવતા, પોલીસની હાજરીમાં જોરાવરનગર સમશાનભૂમિ ખાતે માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં એ.એસ.આઈ. મુળજીભાઈ મકવાણા, જાણીતા આઝાદ સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય, નાનાભા જાડેજા, મહેશભાઈ મેટાલિયા, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વી.ડી. ઝાલા તેમજ જાણીતા એડવોકેટ રુસ્તમભાઈ પીલુડીયા ઉપસ્થિત રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો એ પણ એક માનવ સેવા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:40 am

ચોક્કસ પ્લાનીંગ આપવા તાકીદ:ચાર વર્ષની કવાયતના અંતે પણ પાર્કિંગ પોલિસીનો માસ્ટર પ્લાન બન્યો નહીં, હવે અઠવાડિયામાં તૈયાર કરવા તાકીદ

ગાંધીનગર શહેરમાં વસ્તી અને વિસ્તાર વધ્યા બાદ ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા વ્યાપક બની છે. આ સ્થિતિ નિવારવા માટે અને રસ્તા પર ઉભા રહેતા લારી- ગલ્લાના દબાણોને યોગ્ય રીતે એક સ્થળે ઉભા રાખી શકાય તે માટે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડરો માટેના સ્થળો નિયત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2022માં આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ચાર વર્ષના અંતે પણ હજુ સુધી આ પોલિસીનો માસ્ટર પ્લાન તૈયાર થઇ શક્યો નથી. આ એજન્સીની મુદ્દત વધારવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી મોકલાતા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હવે માત્ર અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે અને માત્ર પેપર વર્ક નહીં લોકેશન સાથે ક્યા સ્થળે કેવા પ્રકારની પાર્કિંગ સુવિધા ઉભી કરી શકાય અને સ્ટ્રીટ વેન્ડરો માટે શું વ્યવસ્થા ગોઠવી શકાય તે સહિતની તમામ બાબતો અસરકારક રીતે દર્શાવીને ચોક્કસ પ્લાનીંગ આપવા તાકીદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પોલીસીના માસ્ટર પ્લાન માટે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ શાખા તેમજ ઇજનેરી શાખાના અધિકારીઓને પણ સ્થળ તપાસ કરીને ચોક્કસ તેમજ અસરકારક કામગીરી કરવા સૂચના આપી છે. મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો ડ્રાફ્ટ 20023માં જાહેર કરીને નાગરિકોના મંતવ્યો, વાંધા- સૂચનો મંગાવ્યા હતા પરંતુ તે પછી કોઇ પ્રક્રિયા થઇ ન હતી. બીજીતરફ એજન્સીને પોલીસીમાં વધુ ચોક્કસ કામગીરી કરવા કહેવાયું હતું પણ તેના ત્રણ વર્ષ બાદ પણ અસરકારક પોલીસી તૈયાર થઇ શકી નથી. માત્ર સ્થળ જ નહીં, વિકલ્પો પણ માગવામાં આવ્યાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે એજન્સીના પ્લાનમાં ચોક્કસ ક્યા પ્લોટ, ક્યા સ્થળો, કેટલા વાહનો માટે પાર્કિંગ થશે તેની સાથે વિકલ્પો પણ માંગવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડરો કેટલા છે અને તેમના માટે પાત્રતા કેટલી રાખવી, ક્યા વિસ્તારમાં જગ્યા આપી શકાય તેનો પણ સરવે કરી માહિતી આપવા કહેવાયું છે. અત્યારસુધીમાં ઘણો સમય વ્યતિત થયો હોવાથી હવે માત્ર એક અઠવાડિયામાં તમામ કામગીરી પૂર્ણ કરવા કહેવાયું છે. બેઝમેન્ટ ખોલવા બિલ્ડરો- સંચાલકો સાથે બેઠકો યોજાશેએજન્સીના સરવેમાં જણાયું છે કે કોમ્પ્લેક્સના બેઝમેન્ટ ખાલી રહેવાથી રોડ પર પાર્કિંગ થાય છે. જેથી બેઝમેન્ટના સંચાલકો, વેપારી એસોસિએશન સાથે બેઠકો યોજીને બેઝમેન્ટમાં મહત્તમ પાર્કિંગ થાય તેની વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના અપાઇ છે. વેલે પાર્કિંગની વ્યવસ્થા માટે પણ સમજાવાશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:40 am

બેઠકોનું અંતિમ સીમાંકન જાહેર:ચૂંટણી આયોગે જિ.પંચાયતની બેઠકોની ફાળવણી યથાવત્ રાખી

રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા પંચાયતની 28 બેઠકોના સીમાંકનનો અંતિમ આદેશ આપી દીધો છે. માણસા તાલુકાની બેઠકો બાબતે મળેલા વાંધાઓ છતાં પ્રાથમિક આદેશમાં કોઈ બદલાવ કરાયો નથી. આ સાથે કલોલ નગરપાલિકાના 11 વોર્ડ અને તાલુકા પંચાયતની બેઠકોનું રોટેશન પણ સ્પષ્ટ કરી દેવાયું છે. ચૂંટણી આયોગના આખરી આદેશ મુજબ જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણી નક્કી થઈ છે. તાલુકામાં અડાલજ, ઉવારસદ સામાન્ય સ્ત્રી, જ્યારે છાલા, ચિલોડા, ડભોડા પછાત વર્ગ માટે ફાળવાઈ છે. સાદરા, વલાદ સામાન્ય અને સરઢવ એસસી બેઠક રહેશે. કલોલ તાલુકાની ભોંયણમોટી, પલીયડ, શેરીસા સામાન્ય સ્ત્રી, જ્યારે પાનસર, સાંતેજ સામાન્ય અને છત્રાલ એસસી સ્ત્રી બેઠક બની છે. માણસામાં બિલોદરા, ચરાડા, મહુડી સ્ત્રી અનામત અને લોદરા, સમૌ, સોજા સામાન્ય રહેશે. દહેગામમાં રખિયાલ એસટી બેઠક છે, જ્યારે અન્ય બેઠકો ઓબીસી અને સામાન્ય વર્ગમાં વહેંચાઈ છે. કલોલ નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક બીજી બેઠક સ્ત્રી અનામત અને ચોથી બેઠક સામાન્ય રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:38 am

કોમી એકતાની અનોખી મિસાલ:વઢવાણમાં 26 વર્ષથી ચા પીવડાવી મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવતા હિન્દુ યુવાન

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાંથી કોમી એખલાસનું એક અદભૂત ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક હિન્દુ યુવાન છેલ્લા 26 વર્ષથી પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવવા માટે ચાની સેવા આપી રહ્યો છે. વઢવાણ શહેરમાં કોમી એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા લગભગ 26 વર્ષથી એક હિંદુ યુવાન રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો માટે ચા પીવડાવવાની સેવા કરી રહ્યો છે. રમઝાન દરમિયાન નમાઝ બાદ રોજા ખોલવા આવતા મુસ્લિમ ભાઈઓને આ યુવાન પોતાની તરફથી ચા પીવડાવી માનવતાનું અનોખું ઉદાહરણ મનોજ ભાઈ પરમાર પૂરું પાડે છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સેવા મનોજભાઈ પરમાર 26 વર્ષોથી સતત ચાલી રહી છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમાજના લોકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યને કારણે વઢવાણ શહેરમાં ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનો સંદેશ ફેલાઈ રહ્યો છે. આ સેવાકાર્ય વિશે ઇમરાનભાઇ, રમઝાનભાઇ, હનીફભાઇ સહિત લોકો કહે છે કે આજના સમયમાં જ્યારે સમાજમાં નાના મુદ્દાઓને લઈને મતભેદ ઊભા થાય છે ત્યારે આવી પહેલ માનવતાની સાચી ઓળખ આપે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:37 am

ઐતિહાસિક નિર્ણય‎:નાડોદા રાજપૂત સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અંદાજે રૂ. 50 કરોડનો ખર્ચે બનશે

ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજના યુવાનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે સુરેન્દ્રનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમદાવાદ-ગાંધીનગર હાઈવે રોડની નજીક અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે અત્યાધુનિક છાત્રાલય અને શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સુરેન્દ્રનગર પંથકના 36 ગામના આગેવાનોએ એકસૂરે સહમતી દર્શાવી ભવિષ્યની પેઢી માટે મજબૂત પાયો નાખવાની તૈયારી દર્શાવી છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નાડોદા રાજપુત સમાજની બોર્ડિંગ ખાતે તા.14-3-2026ને શનિવારે મીટીંગ યોજાઇ હતી. ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજની છાત્રાલય માટે વિસ્તારના 36 ગામના આગેવાનોની મીટીંગ શ્રીજીસ્વામીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં અખીલ ગુજરાત નાદોડા રાજપુત સમાજના પ્રમુખ હિંમતસિંહ કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં અખીલ ગુજરાત નાદોડા રાજપુત છાત્રાલય માટે અમદાવાદથી ગાંધીનગર હાઇવે રોડ નજીક છાત્રાલય માટે જમીન લેવા માટેની ચર્ચા થઇ હતી. જેમાં તમામ આગેવાનો દ્વારા છાત્રાલય માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી અને ઉત્સાહભેર આ વિચારને વધાવ્યો હતો. આ મીટીંગમાં દાનની સરવાણી ચાલુ થઇ ગઇ હતી. આ પ્રોજેકટ રૂ. 50 કરોડના હોય તેમાંથી અદ્યતન શૈક્ષણિક સંકુલ બનાવવા માટેની વાત થઇ હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:37 am