SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

ગોળીગઢ બાપુના મેળાથી નવસારી ST ડેપોને મોટી આવક:એક જ રાતમાં ₹6.12 લાખની કમાણી, 40 બસોએ 300 જેટલી ટ્રિપ્સ પૂરી કરી

દક્ષિણ ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા મહુવા તાલુકાના વાંસકુઈ ગામે ગોળીગઢ બાપુની જાત્રા યોજાઈ હતી. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતા નવસારી એસટી ડેપોને નોંધપાત્ર આવક થઈ છે. મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવેલી વધારાની બસોને કારણે ડેપોએ માત્ર એક રાત્રિમાં ₹6,12,631ની આવક મેળવી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા અગાઉથી જ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. નવસારી ડેપો દ્વારા કુલ 40 વધારાની બસો ફાળવવામાં આવી હતી. આ બસોએ રાત્રિના 12 વાગ્યાથી જાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં કુલ 8,291 કિલોમીટરનું અંતર કાપીને અંદાજે 300 જેટલી ટ્રિપ્સ પૂરી કરી હતી. મુસાફરોને બસની રાહ ન જોવી પડે તે માટે વાંસકુઈ ખાતે ખાસ 'હંગામી બસ સ્ટેશન' કાર્યરત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા 'ઝીરો વેટિંગ ટાઈમ'ની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી, જેથી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને તુરંત પરિવહન વ્યવસ્થા મળી રહે. વ્યવસ્થા જાળવવા માટે જૂના બસ સ્ટેશન અને મેળાવડાના સ્થળે 30 વહીવટી કર્મચારીઓ ફરજ પર તૈનાત હતા. ડ્રાઈવર અને કંડક્ટરોએ સતત બે શિફ્ટમાં ફરજ બજાવી હતી. નવસારીથી વાંસકુઈ વચ્ચેના એક કલાકના રૂટ પર બસોની અવરજવર સતત ચાલુ રહી હતી. ગોળીગઢ બાપુ આદિવાસી સમાજના કુળદેવતા સમાન મનાય છે. દર વર્ષે મહા મહિનામાં ભરાતી આ જાત્રામાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ખેડૂતો પોતાના પશુધનની રક્ષા અને ખેતીમાં સમૃદ્ધિની માનતા રાખવા અહીં વિશેષ રીતે આવે છે. પરંપરાગત વાદ્યોના સૂર, ધજા-નાળિયેરની પૂજા અને આદિવાસી નૃત્યોએ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું. સામાજિક સમરસતાના પ્રતીક સમાન આ મેળામાં લાખો લોકોએ બાપુના આશીર્વાદ લીધા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:55 pm

મેઘાણીનગરમાં પાડોશી યુવકે મહિલાને ગાળો આપી અને છેડતી કરી:નિકોલમાં પૌત્રીની ઉંમરની બાળકીની છેડતી કરનાર વૃદ્ધની ધરપકડ

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ઘરમાં મંદિરની સાફ-સફાઈ કરી રહેલી 44 વર્ષીય મહિલાની પાડોશમાં જ રહેતા એક શખ્સે છેડતી કરી ગાળાગાળી કરી હતી. પોલીસ ફરિયાદ કરશો તો 'જાનથી મારી નાખીશ'ની યુવકે ધમકી આપી હતી. આ અંગે મહિલાએ શખ્સ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પાડોશી યુવકે મહિલાને ગાળો આપી અને છેડતી કરીમાહિતી મુજબ મેઘાણીનગરમાં 44 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. રવિવારે બપોરે તેઓ પોતાના ઘરે એકલા હતા અને ઘરના મંદિરની સફાઈ કરી રહ્યા હતા. ચાલીમાં જ રહેતા જૈવિકસિંહ દિલીપસિંહ ચાવડા ગાળો બોલતા અને બુમો પાડતા ત્યાંથી પસાર થતાં હતા. મહિલા જ્યારે ઘરની બહાર જોવા માટે આવ્યા ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. યુવકે લાકડી મહિલા પર ઉગામીજૈવિકસિંહ હાથમાં રહેલી લાકડી મહિલા તરફ ઉગામી હતી. જોકે મહિલા બાજુમાં ખસી જતા તેમનો બચાવ થયો હતો. ત્યારબાદ આરોપીએ લાકડી ફેંકી દઈ મહિલાની એકદમ નજીક આવી, તેમની છેડતી કરી ઝપાઝપી કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીમહિલાએ બૂમાબૂમ કરતા ચાલીના અન્ય લોકો દોડી આવ્યા હતા અને મહિલાને છોડાવ્યા હતા. યુવક ત્યાંથી જતી વખતે ધમકી આપી હતી કે, જો આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે મહિલાએ જયવિકસિંહ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નિકોલમાં પૌત્રીની ઉંમરની બાળકીની છેડતી કરનાર વૃદ્ધની ધરપકડઅમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મહિલા સહકર્મીની પોતાની પૌત્રીની ઉંમરની દીકરી સાથે એક વૃદ્ધે શારીરિક અડપલાં કર્યા હતાં. આ ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં વૃદ્ધની ધરપકડ કરી છે. મહિલા જ્યારે પોતાની પુત્રીને કારખાનામાં મૂકી અને માલિક સાથે ઓર્ડરની ડિલિવરી આપવા માટે ગઈ હતી તે દરમિયાનમાં બાળકી સોફા ઉપર બેઠી બેઠી મોબાઈલ જોતી હતી ત્યારે વૃદ્ધ દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. મોબાઇલમાં સીસીટીવીથી બાળકી સુઈ નથી ગઈ ને તેવું જોવા માટે જ્યારે તપાસ કરી તો આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક કારખાનેદારે ત્યાંના અન્ય સ્ટાફને જાણ કરી હતી. આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:51 pm

કપાળે ચંદનના ટીક્કા, 'તૂ ચીઝ બડી હૈ...’ પર ઠુમકા, VIDEO:સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ મહિલાને આઈટમ સોંગ પર નચાવી; ટોળું વળી સાથે મોજ માણી

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં ફાગોત્સવ દરમિયાન ખરાબ ડાન્સ થતો જોવા મળ્યો હતો જેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી અને તેમની સાથે નાચતા-નાચતા અશ્લીલ હરકતો પણ કરી હતી. આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પ્રમુખે નિંદનીય ગણાવી છે. ફાગોત્સવના નામે ખરાબ ડાન્સથી ભરપૂર કાર્યક્રમ યોજાયો હતોસુરતની રીંગરોડ ખાતે આવેલી અભિષેક ટેક્સટાઇલ માર્કેટના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વેપારીઓ દ્વારા ફાગોત્સવના નામે ખરાબ ડાન્સથી ભરપૂર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની હરકતો કેમેરામાં કેદ થઈ હતી. આ અંગેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ આ પ્રકરણ સામે આવ્યું છે. આ ઘટનાને લઇ સમગ્ર વેપારી આલમમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. વીડિયોમાં વેપારીઓ યુવતીઓ સાથે અશ્લીલ ઈશારા અને ડાન્સ કરતા નજરે પડ્યા ફાગોત્સવની ઉજવણી દરમિયાન વેપારીઓએ બે મહિલાઓને બોલાવીને અશ્લીલ ડાન્સ કર્યો હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ ફાટી નીકળ્યો છે. ગત વર્ષે શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં ફાગોત્સવ ઉજવવા બદલ થયેલા વિવાદ અને તેને રોકવા માટે કરાયેલી અપીલો વચ્ચે આ વર્ષે પણ આવી જ ઉજવણી કરવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. વાયરલ વીડિયોમાં વેપારીઓ યુવતીઓ સાથે અશ્લીલ ઈશારા અને ડાન્સ કરતા નજરે પડ્યા છે, જેને લઈને સોશિયલ મીડિયા પર તીવ્ર ફિટકાર વરસી રહી છે અને ઘણા લોકો આવી હરકતોને માન-મર્યાદાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. આપણે આપણી ઊજવણી સંસ્કૃતિમાં રહીને કરીએ તો સારું આ અંગે ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમે જણાવ્યું હતું કે, રાજસ્થાનના વેપારીઓમાં સંસ્કૃતિ પ્રમાણે ફાગોત્સવની ઉજવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે. ગત વર્ષે પણ શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હોવાથી બધા જ વેપારીઓને ફાગોત્સવની ઉજવણી ન કરવા માટે અપીલ કરી હતી. આ વર્ષે પણ ઉજવણી થઈ છે. સંસ્કૃતિ પ્રમાણે છોકરાઓ જ છોકરીઓ બનીને આ ઉજવણીમાં જોડાતી હોય છે. જોકે કેટલાક દ્વારા મહિલાઓને લાવીને ઉજવણી કરવામાં આવે છે જે નીંદનિય છે. મહિલાઓની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારના કાર્યક્રમો ન કરવા જોઈએ. પણ આ વખતે પણ જો આવું કંઈ થયું છે, તો આ નિંદનીય છે. આવું ન કરવું જોઈએ. આપણે આપણી સંસ્કૃતિમાં રહીને કરીએ તો સારું છે. મર્યાદામાં રહીને કરીએ તો સારું છે. કોઈ અભદ્ર હરકતો ન કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:43 pm

CA ફાઈનલમાં ટોપ 50માં અમદાવાદના 2 વિદ્યાર્થીઓ:વિદ્યાર્થીએ કહ્યું, 16થી 17 કલાક તૈયારી કરી,કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પરીક્ષા પાસ કરવી અઘરી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી-2026માં લેવામાં આવેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતા ઘણું ઓછું આવ્યું છે. છતાં અમદાવાદ સેન્ટરના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં હર્ષ હિમાંશુભાઈ સોનારાએ ઓલ ઇન્ડિયા 9મો રેન્ક મેળવ્યો છે તો નિમિષ ગૌતમ શાહે ઓલ ઇન્ડિયા 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ગ્રુપ-1માં 178 વિદ્યાર્થીઓ અને ગ્રુપ-2માં 18 વિદ્યાર્થી પાસ થયાઅમદાવાદ કેન્દ્રના બંને ગ્રુપની પરીક્ષામાં કુલ 635 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાંથી 88 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. જેની ટકાવારી 13.86 ટકા નોંધાઈ છે. તેમજ ગ્રુપ-1માં 872 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 178 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેની ટકાવારી 20.41 ટકા છે. ગ્રુપ-2 406 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા જેમાં 18 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જેની ટકાવારી 4.43 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સપ્ટેમ્બર-2025માં અમદાવાદનું પરિણામ 23.18 ટકા અને મે-2025માં 19.35 ટકા રહ્યું હતું. ભારતમાં 2446 વિદ્યાર્થીઓ પાસ ભારતમાંથી બંને ગ્રુપમાં કુલ 22293 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2446 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની કુલ ટકાવારી 10.97 ટકા થાય છે. જાન્યુઆરી-2026ની આ પરીક્ષાના પરિણામ સાથે દેશને નવા 7590 ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પ્રાપ્ત થયા છે. હર્ષ સોનારાએ 9મો અને નિમિશ શાહે 27મો રેન્ક મેળવ્યો ICAI અમદાવાદના ચેરમેન સીએ રિંકેશ શાહે જણાવ્યું હતું કે, ICAI ની અમદાવાદની બ્રાન્ચમાંથી બે લોકોએ રેન્ક મેળવ્યા છે. હર્ષ સોનારાએ 9મો રેન્ક અને નિમિશ શાહે 27મો રેન્ક મેળવ્યો છે. અમદાવાદમાં બંને ગ્રુપમાં 635 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા જેમાંથી 88 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમજ ગ્રુપમાં 1માં 872 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 178 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગ્રુપ 2માં 406 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઓલ ઓવર ઇન્ડિયા અને અમદાવાદનું રીઝલ્ટ ગયા વર્ષ કરતા ઓછું આવ્યું છે. 'પેપર આ વખતે અઘરા પૂછાયા હતા'ICAI ના સેન્ટ્રલ કાઉન્સિલર મેમ્બર પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, પેપર આ વખતે અઘરા પૂછાયા હતા. જે લોકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા હતા તે લોકો જ આ વખતની પરીક્ષામાં પાસ થયા છે. જે લોકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા ન હતા તે લોકો પાસ થયા નથી. થીયરીકલ નોલેજ જે લોકો પાસે હતું તે લોકો પાસ થયા છે. '16થી 17 કલાક તૈયારી કરી, થીયરી સબ્જેક્ટ પર સૌથી વધુ ફોકસ આપ્યું'ઓલ ઇન્ડિયા 9મો રેન્ક મેળવનાર અને અમદાવાદમાં ટોપ કરનાર હર્ષ સોનારાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં 12થી 13 કલાક તૈયારી કરી છે. પરીક્ષા દરમિયાન એક રજા મળતી હોય છે જેમાં 16થી 17 કલાક તૈયારી કરી છે. થીયરી સબ્જેક્ટ પર સૌથી વધુ ફોકસ આપ્યું હતું. તેમજ સમરી બનાવીને તૈયારી કરતો હતો જેથી છેલ્લા દિવસોમાં મહેનત ઓછી કરવી પડે. લોકોને આશા હોય છે કે ફાઇનલમાં સારા રેન્ક આવે જેથી માનસિક તણાવ રહેતો હોય છે. પરંતુ હું તે બધા તણાવથી દૂર રહેતો હતો. પરિવારના સપોર્ટમાં કારણે અન્ય કોઈ તકલીફ થઈ નથી. જે પણ વાંચીએ તે સારી રીતે વાંચવું જોઈએ. કારણ કે અત્યારે પેપર ઘણા અઘરા પૂછાઇ રહ્યા છે. જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પરીક્ષા પાસ કરવી અઘરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:33 pm

પાટણમાં જલારામ મંદિરે હોળી નિમિત્તે હોલિકાની ઝાંખી:શ્રદ્ધાળુઓએ જલારામ બાપા સાથે હોલિકાના દર્શન કર્યાં

પાટણ શહેરમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે જલારામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની સન્મુખ હોલિકાની સુંદર ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. આ ઝાંખી સોમવારે તૈયાર કરાઈ હતી. મંદિરના પુજારી રશ્મિકાંતભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ શૈલેષભાઈ રાવલ દ્વારા હોલિકાની સજાવટ કરવામાં આવી હતી.મંદિરમાં જલારામ બાપાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ હોલિકાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનો સંદેશો મેળવ્યો હતો. મંદિરના ટ્રસ્ટીગણ આવા ધાર્મિક તહેવારોની ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવામાં યોગદાન આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:32 pm

વિશ્વ ઉમિયાધામમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ:ઘુમામાં ભાગવત કથા દરમિયાન વિકસિત ભારતના સંકલ્પ માટે મુખ્યમંત્રીનું પ્રેરક આહ્વાન

અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ગામ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં ભક્તિ અને કર્તવ્યભાવનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્ણ હાજરી આપી કથા શ્રવણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ તબક્કે સત્સંગ અને જનસેવા વચ્ચેના અતૂટ સંબંધ પર ભાર મૂકીને ઉપસ્થિત ભાવિકોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. સત્સંગ અને જવાબદારીનું પ્રતિબિંબ કથા શ્રાવકોને સંબોધતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સત્સંગ એ માનવ જીવન માટે અનિવાર્ય પાસું છે. તેમણે અત્યંત નમ્રતાપૂર્વક સ્વીકાર્યું હતું કે, જ્યારે જનતા સરકાર પર વિશ્વાસ મૂકે છે અને અભિવાદન કરે છે, ત્યારે તે માત્ર સન્માન નથી, પણ જવાબદારીનો અહેસાસ છે. જનતા દ્વારા પાડવામાં આવતી દરેક તાળી સરકારની નૈતિક જવાબદારીમાં અનેકગણો વધારો કરે છે. પ્રજાનો અખૂટ વિશ્વાસ જાળવી રાખવો એ જ શાસનનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું. વિકસિત ભારતનો સંકલ્પ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ નાગરિકોને એકજૂથ થઈને આગળ વધવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભાવના જ્યારે સાથે મળે છે, ત્યારે દેશની પ્રગતિની ગતિ બમણી થઈ જાય છે. આ ભગીરથ કાર્યમાં દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે યોગદાન આપી લીન થવું જોઈએ. ભાગવત કથા: જીવન જીવવાનું અમૃત આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ હાજરી આપીને શ્રદ્ધાળુઓને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાગવત કથા એ માત્ર કાનથી સાંભળવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જીવનમાં ઉતારવા જેવું અમૃત છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનના આદર્શો અને સંદેશાઓ આજના આધુનિક યુગમાં પણ એટલા જ પ્રાસંગિક છે. મંત્રીએ સૌને કથાના સારમાંથી પ્રેરણા લઈ જીવનમાં સદગુણો કેળવવા આહ્વાન કર્યું હતું. રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીની અમૃતવાણી વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત આ જ્ઞાનયજ્ઞમાં સુપ્રસિદ્ધ કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ પોતાની મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના વિવિધ પ્રસંગો દ્વારા તેમણે માનવ કલ્યાણ અને ભક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં વિશ્વ ઉમિયાધામના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રાવકોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:32 pm

વુમનીયા ગ્રૂપ દ્વારા 13મા વર્ષે ફાગોત્સવનું આયોજન:દાહોદમાં 32 મહિલા મંડળોએ રાધા-કૃષ્ણ રાસ સાથે સમરસતા દર્શાવી

દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ. અહીં હોળી પર્વની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી, પરંતુ ઘણા દિવસો પહેલાથી જ વિવિધ કાર્યક્રમો અને મેળાઓની શરૂઆત થઈ જાય છે. આ જ પરંપરાને જાળવી રાખીને, દાહોદમાં 'વુમનીયા ગ્રૂપ' દ્વારા સતત 13માં વર્ષે અત્યંત ઉલ્લાસપૂર્વક 'ફાગોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર હોળી ઉજવવાનો નથી, પરંતુ જિલ્લાભરના વિવિધ સમાજની મહિલાઓને એક મંચ પર લાવવાનો છે. સામાજિક સમરસતાના સંદેશ સાથે યોજાતા આ ફાગોત્સવમાં દરેક સમાજની બહેનો પોતાના ગ્રૂપ સાથે ઉત્સાહભેર ભાગ લે છે. આ કાર્યક્રમ મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટેનું એક ઉત્તમ માધ્યમ બન્યું છે. 32 મહિલા મંડળોની મનમોહક પ્રસ્તુતિ આજરોજ યોજાયેલા ભવ્ય ફાગોત્સવમાં જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી 32 જેટલા મહિલા મંડળોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું વાતાવરણ ત્યારે ભક્તિમય અને સાંસ્કૃતિક બની ગયું જ્યારે મહિલાઓએ પારંપરિક વેશભૂષામાં ફાગગીતો અને ફાગ રસિયાની રમઝટ બોલાવી હતી. વિવિધ થીમ ઉપર આધારિત નૃત્ય પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખાસ કરીને, રાધા-કૃષ્ણની વેશભૂષામાં સજ્જ થઈને મહિલાઓએ કરેલા નૃત્યોએ વાતાવરણને વૃંદાવન જેવું બનાવી દીધું હતું. અબીલ-ગુલાલ અને પુષ્પવર્ષા વચ્ચે હોળી પર્વનો પ્રારંભ કાર્યક્રમ દરમિયાન અબીલ-ગુલાલની છોળો અને પુષ્પવર્ષા થતાં સમગ્ર માહોલ હોળીના રંગમાં રંગાઈ ગયો હતો. આમ તો હોળી આવવામાં વાર હોય છે, પરંતુ આ કાર્યક્રમે દાહોદમાં હોળી પર્વની વહેલી શરૂઆત થઈ ગઈ હોય તેવો માહોલ સર્જી દીધો હતો. મહિલાઓના આ ઉત્સાહને બિરદાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય સહિત ભાજપના પદાધિકારીઓએ પણ વિશેષ હાજરી આપી હતી અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. સતત 13 વર્ષથી યોજાતા આ કાર્યક્રમની સફળતાએ સિદ્ધ કર્યું છે કે દાહોદની મહિલાઓ પોતાની સંસ્કૃતિ પ્રત્યે કેટલી જાગૃત અને ઉત્સાહી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:23 pm

જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટી: ₹1.5 કરોડના વિકાસકામો મંજૂર.:​જૂનાગઢના સૌંદર્યીકરણ માટે મહાનગરપાલિકાનો મોટો નિર્ણય: મજેવડી દરવાજે સિંહ અને દાતાર રોડ પર વિવેકાનંદજીની પ્રતિમા મુકાશે, લઘુકુંભના સફળ આયોજન બદલ અધિકારીઓનું સન્માન.

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મહત્વની બેઠક આજે ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને જનસુખાકારી માટે અંદાજે ₹1.50 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં મેયર ધર્મેશભાઈ પોંશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અને અન્ય સમિતિ સદસ્યોની ઉપસ્થિતિમાં શહેરના બ્યુટિફિકેશન માટેના મહત્વના એજન્ડાઓ પર મહોર મારવામાં આવી હતી. ​જૂનાગઢની ઐતિહાસિક ઓળખને વધુ ઉજાગર કરવા માટે મનપા દ્વારા બ્યુટિફિકેશન ગ્રાન્ટ અંતર્ગત મહત્વના નિર્ણયો લેવાયા છે જેમાં જૂનાગઢના પ્રવેશદ્વાર સમાન મજેવડી દરવાજા પાસે એશિયાઈ સિંહની ભવ્ય પ્રતિમા મુકવામાં આવશે.દાતાર રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે વિવેકાનંદજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરાશે.ભવનાથ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર આધુનિક 'વિન્ડ સ્પિનર સ્કલ્પચર' મુકવા માટે ₹36,99,000ના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે 'રંગ ધ બ્રાન્ડિંગ આઈડીયાલીસ્ટ' એજન્સીની પસંદગી કરવામાં આવી છે. ​ગત 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા 'મહાશિવરાત્રી લઘુકુંભ મેળો-2026'ના સફળ આયોજન બદલ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા. કમિશનર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ મેળામાં ૨૪ કલાક પાણીની સુવિધા, અવિરત સ્વચ્છતા અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન જાળવનાર તમામ અધિકારીશ્રીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ​સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે મેળાના પાંચ દિવસ દરમિયાન અને અગાઉના બે મહિનાથી જે રીતે નાના કર્મચારીથી લઈને મોટા અધિકારીઓએ રાત-દિવસ જોયા વગર જહેમત ઉઠાવી છે, તેના કારણે જ દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ જૂનાગઢની વ્યવસ્થાના વખાણ કર્યા છે. આ નિષ્ઠાને સન્માનવું એ અમારી ફરજ છે. ​મેળો પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ મેળાના મેદાનને સંપૂર્ણ સ્વચ્છ કરી દેનાર સફાઈ કામદારોની કામગીરીની પણ બેઠકમાં ખાસ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરના ટ્રાફિક અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓના સુચારૂ સંચાલન માટેની વિવિધ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ બેઠકમાં બાલાભાઈ રાડા, અંકિતભાઈ માવદીયા અને વનરાજભાઈ સોલંકી સહિતના સદસ્યોએ વિકાસલક્ષી ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:20 pm

દ્વારકા ફૂલડોલ ઉત્સવ દરમિયાન પોલીસે યાત્રિકોની સંવેદનશીલ મદદ કરી:વૃદ્ધાને સારવાર બાદ દર્શન કરાવ્યા, દિવ્યાંગ ભક્તની માનતા પૂરી કરાવી

દ્વારકા ખાતે હોળી-ધુળેટી નિમિત્તે યોજાયેલા ફૂલડોલ ઉત્સવ દરમિયાન દેવભૂમિ દ્વારકા પોલીસે યાત્રિકો પ્રત્યે સંવેદનશીલ સેવા પૂરી પાડી હતી. આ ઉત્સવમાં ભક્તિ અને સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો. સવારે 7.00 વાગ્યે કેરળથી ખાસ ટ્રેન મારફતે આવેલા અંદાજે 400 યાત્રિકોમાંથી 76 વર્ષીય એક વૃદ્ધાની તબિયત અચાનક બગડી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસ ટીમે તરત જ ખાનગી વાહનની વ્યવસ્થા કરી વૃદ્ધાને નજીકની હોસ્પિટલમાં ખસેડી જરૂરી સારવાર અપાવી. સારવાર બાદ વૃદ્ધાએ દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પોલીસના સહકારથી તેમના સ્નેહીઓ સાથે વૃદ્ધાને મંદિરે લઈ જઈ સુવિધાપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાએ પોલીસની માનવતાભરી સેવા દર્શાવી. આ ઉપરાંત, ખંભાળિયાથી આવેલા એક દિવ્યાંગ ભક્તની અડગ આસ્થા જોઈ પોલીસ જવાનોએ તેમને મદદ કરી. ભક્ત ગોમતી ઘાટ સુધી પહોંચવા માંગતા હતા. દ્વારકા પોલીસે તેમને ગોમતી ઘાટ સુધી સહારો આપી પહોંચાડ્યા. ત્યાં પોતાના હાથે પવિત્ર જળથી હાથ ધોવડાવી તેમની માનતા પૂર્ણ કરાવી. પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની આગેવાની હેઠળ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા યાત્રિકો માટે માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સહાનુભૂતિ અને સહાયની ભાવના સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ફરી એકવાર સાબિત થયું કે યાત્રાધામમાં આવનાર દરેક દર્શનાર્થી માટે પોલીસ પરિવાર સમાન સાથીદાર બની રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:16 pm

ભરૂચની કલરવ શાળામાં ફૂલોથી ધૂળેટી ઉજવાઈ:મનો દિવ્યાંગ બાળકોએ ગીત-સંગીત સાથે આનંદ માણ્યો

ભરૂચની કલરવ શાળામાં મનો દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. રંગોના પર્વને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુથી બાળકોએ ફૂલોથી ધૂળેટી રમી હતી. ગીત-સંગીતના સથવારે વિદ્યાર્થીઓએ ડાન્સ અને ગરબા રમી નિર્દોષ આનંદ માણ્યો હતો. કાર્યક્રમને વધુ રોમાંચક બનાવવા મુકેશ ખન્ના દ્વારા સાઉન્ડ સિસ્ટમની સેવા પૂરી પાડવામાં આવી હતી. હોળીના લોકપ્રિય ગીતો વાગતા બાળકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર શાળામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ઉજવણીના અંતે તમામ બાળકોને ધાણી અને ખજૂરનું વિતરણ કરી હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નીલા મોદી, તમામ શિક્ષકો અને સંસ્થાના સભ્યો હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:15 pm

ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત

Oman Sea Drone Attack : અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કર્યા બાદ મિડલ-ઈસ્ટમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઓમાનના દરિયામાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર લઈને જતા તેલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જહાજમાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર સવાર હતા મીડિયા રિપોર્ટ મુજબ, ઓમાન સમુદ્રમાં મસ્કરથી દરિયાકાંઠેથી 52 નોટિકલ મીલ દૂર માર્શલ દ્વિપના ઝંડાવાળા MKD વ્યોમ તેલ ટેન્કર પસાર થઈ રહ્યું છે.

ગુજરાત સમાચાર 2 Mar 2026 6:10 pm

મોરબીમાં 47 વર્ષીય જમીન દલાલની હત્યાનો મામલો:5 આરોપી ઝડપાયા,આરોપીઓનું સરઘસ કાઢવા અને કડક સજાની માંગ;કલેક્ટર-એસપીને રજૂઆત

મોરબીમાં એક 47 વર્ષીય જમીન દલાલ તાજમહમદ ભટ્ટીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, આરોપીઓનું સરઘસ ન કાઢવામાં આવતા સુન્ની મુસ્લિમ કસબા જમાત અને મિયાણા સમાજ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી આરોપીઓનું સરઘસ કાઢવા અને કડક સજાની માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી શહેરમાં રમેશ કોટન મિલ પાસે રહેતા 47 વર્ષીય તાજમહમદ ભટ્ટી ગત 19 ફેબ્રુઆરીના રોજ ગુમ થયા હતા. ત્યારબાદ તેમની હત્યા કરીને લાશને પીપળી અને બેલા ગામ વચ્ચે આવેલા શિવાય કોલ નામના બંધ કારખાનામાં જમીનમાં ખાડો કરીને તેમાં લાકડા અને ડીઝલ નાખી સળગાવી દેવામાં આવી હતી. પુરાવાનો નાશ કરવા માટે ખાડો પૂરી તેના પર પાકું ધાબું ભરી દેવાયું હતું. પોલીસે જેસીબીની મદદથી સ્થળ પર ખાડો ખોદી તાજમહમદભાઈના અવશેષો કબજે કર્યા હતા. મૃતકના પુત્રની ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં 5 આરોપીઓને પકડીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. આ ઘટના બાદ મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજના લોકો મોરબી કલેક્ટર અને એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે આવેદનપત્ર આપીને હત્યાના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી હતી. આ ઉપરાંત, 47 વર્ષીય જમીન દલાલ તાજમહમદ ભટ્ટીની નિર્મમ હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:03 pm

બોટાદના હેતલબેન પંચગવ્ય ઉત્પાદનો વેચી બન્યા આત્મનિર્ભર:મિશન લાઈફ સ્વદેશી મેળાએ આપ્યું વેચાણનું પ્લેટફોર્મ

બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ મિશન લાઈફ અંતર્ગત સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેળામાં સ્વ-સહાય જૂથની બહેનો માટે વિનામૂલ્યે સ્ટોલ, રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મેળામાં વ્રજ મંગલમ જૂથના ૩૫ વર્ષીય હેતલબેન કૈલાશભાઈ કુમે ભાગ લીધો હતો. તેમણે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ દેશી ગાયના દૂધ, દહીં, ઘી, છાશ, ગાયનું ગોબર અને ગૌમૂત્ર સહિતના પંચગવ્યમાંથી ઉત્પાદિત સાબુ, શેમ્પૂ, અગરબત્તી અને ધૂપ જેવી વસ્તુઓનું વેચાણ કરે છે. હેતલબેનનો મુખ્ય ધ્યેય ઘરે ઘરે ગોબરમાંથી બનેલી વસ્તુઓ પહોંચાડવાનો અને લોકોને ગોબરની વસ્તુઓનો ઉપયોગ કરી સાત્વિક જીવન જીવવા પ્રેરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગાયના ગોબરથી આપણું આરોગ્ય, વાતાવરણ અને સ્વાસ્થ્ય સુધરે છે, જેનાથી લોકો રોગમુક્ત બની શકે છે. ઉલ્લેખનીય છે કે, હેતલબેન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પણ કરે છે અને તેમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવે છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:59 pm

નાના ઉમરડા શાળા નજીક ખુલ્લી ગટર, વિદ્યાર્થીઓ પરેશાન:6 મહિનાથી ઢાંકણા ખુલ્લા, રોગચાળાનો ભય, તાત્કાલિક કાર્યવાહીની માંગ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામની પ્રાથમિક શાળા નજીક છેલ્લા છ મહિનાથી ખુલ્લી ગટર લાઈનોને કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલી નવી અંડરગ્રાઉન્ડ ગટર લાઈનના ઢાંકણા ખુલ્લા મૂકી દેવાયા છે, જેનાથી રોગચાળાનો ભય અને દુર્ગંધની સમસ્યા સર્જાઈ છે. પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી આ ખુલ્લી ગટર લાઈન નાના બાળકો માટે જોખમી છે, કારણ કે તેઓ તેમાં પડી શકે છે. આ ઉપરાંત, ગટરની ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ગંભીર રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. છ મહિનાથી આ સ્થિતિ હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. માત્ર શાળા જ નહીં, પણ શાળાની આજુબાજુ રહેતા રહીશો પણ આ ખુલ્લી ગટરની અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરની ગંદકી અને વાસને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ગ્રામ પંચાયતે નવી લાઈન તો નાખી દીધી, પરંતુ તેના ઢાંકણા ફીટ કરવાનું ભૂલી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. સ્થાનિકો તંત્ર દ્વારા સત્વરે આ ગટર લાઈનના ઢાંકણા બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી દુર્ઘટના કે રોગચાળો ફેલાતો અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:58 pm

ગોધરાના વેરૈયા ગામના સરપંચ પતિને રેલવે પોલીસે માર માર્યાનો આક્ષેપ:ડેરોલ સ્ટેશને ઓરડીમાં પૂરી ઢોર માર માર્યો, માથામાં 5 ટાંકા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેરૈયા ગામના સરપંચ પતિ રણજીતસિંહ પર્વતસિંહ પરમારને ડેરોલ રેલવે પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ભોગ બનનારનો દાવો છે કે રેલવેના કોઈ ગુના સાથે સંબંધ ન હોવા છતાં તેમને માર મારવામાં આવ્યો હતો. રણજીતસિંહ પરમારને ગત 26 ફેબ્રુઆરીના રોજ સંજય ચુડાસમા નામના પોલીસ કર્મચારીએ ડેરોલ રેલવે સ્ટેશન પર મળવા બોલાવ્યા હતા. તેમને ગામમાં બે પક્ષો વચ્ચે ચાલી રહેલા ઝઘડાના સમાધાન અથવા પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા હતા. રણજીતસિંહનો આક્ષેપ છે કે તેઓ ડેરોલ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમને પોલીસ ચોકીની એક ઓરડીમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યાં હાજર પોલીસકર્મીએ કોઈ સચોટ કારણ વગર દંડા વડે તેમને ઢોર માર માર્યો હતો. આ કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેના પર પાંચ ટાંકા લેવા પડ્યા હતા. શરીરના અન્ય ભાગો પર પણ મારના નિશાન સ્પષ્ટપણે દેખાય છે. ઘટનાના દિવસે મોડી રાત્રે વેરૈયા ગામમાં 'રેલવે DYSP' લખેલી એક ગાડી જોવા મળી હતી. સરપંચના પતિએ આ ગાડીનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ મામલે પ્રશ્ન ઊભો થયો છે કે રેલવે પોલીસની હકુમત બહાર ગામમાં આ ગાડી કેમ આવી હતી. ભોગ બનનાર રણજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, “મારો કોઈ ગુનો નહોતો, છતાં મને પશુની જેમ માર મારવામાં આવ્યો છે.” આ અન્યાય સામે રણજીતસિંહ પરમારે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ન્યાયની માંગ કરી છે અને દોષિત પોલીસકર્મી સામે કડક પગલાં લેવાની અપીલ કરી છે. આ મામલે ગોધરા રેલવે પોલીસ મથકના PI એચ.વી. તડવીએ જણાવ્યું હતું કે, “આ મામલે વિગતવાર જાણવા મળ્યું નથી, તે તપાસનો વિષય છે. તપાસ બાદ આગળ જોઈશું.”

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:56 pm

દર્દીના ખાટલામાં સૂઈ ગયા ડોક્ટર્સ:LG હોસ્પિટલનો વીડિયો વાયરલ, 4 થી 6 માર્ચ આકરી ગરમી માટે તૈયાર રહેજો, દહેજની ભૂખે વિખેર્યો પરિવાર

યુવાનની બસ પર પડ્યો મિસાઈલનો કાટમાળ ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કુવૈતમાં રહેતા સુરતી યુવાનની બસ પર જ પડ્યો મિસાઈલનો કાટમાળ.. એટલું જ નહીં તેણે ભાસ્કરને હાલની સ્થિતિ પણ જણાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતના 300થી વધુ શ્રદ્ધાળુઓ મક્કામાં ફસાયા સુરત જિલ્લાના 300થી વધુ શ્રદ્ધાળુઓ મક્કા-મદીનામાં ફસાયા.. મિડલ-ઈસ્ટમાં ફ્લાઈટ્સ રદ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે..સરકાર પાસે ફસાયેલા હાજીઓને સુરક્ષિત પાછા લાવવા પરિવારજનોએ માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહેસાણાના બે પરિવાર દુબઈમાં ફસાયા ઈરાન- ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મહેસાણાના પણ બે પરિવારો દુબઈમાં ફસાયા.. ધંધાના કામથી ગયેલા વેપારી અને બહુચરાજી એપીએમસીના પૂર્વ ચેરમન અને તેમના પરિવારના 8 લોકો ત્યાં ફસાયા છે.. 4 માર્ચથી બાળકોની પરીક્ષા શરુ થઈ રહી છે, પણ ફ્લાઈટ સેવા બંધ થતા પરિવાર ત્યાં જ ફસાઈ ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુદ્ધની સ્થિતિમાં પણ ફરવા જવાનો ઉત્સાહ યથાવત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાતીઓનો ફરવા જવાનો ઉત્સાહ યથાવત.. ટુર પેકેજિસ કેન્સલ કરાવવાની જગ્યાએ માત્ર તારીખોમાં ફેરફાર કરાવ્યો.ટુર સંચાલકો પણ દુબઈની જગ્યાએ બાલી-થાઈલેન્ડ અને મલેશિયાના ઓપ્શન આપી રહ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં આજે હોલિકા દહન કરાશે આજે રાજ્યમાં હોલિકા દહન કરવામાં આવશે. ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવશે. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી, ચાર માર્ચે ધૂળેટી ઉજવવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CA-AIR ટોપ 50માં વડોદરાના 5 વિદ્યાર્થી સીએ ફાઈનલના રિઝલ્ટમાં વડોદરાના પાંચ વિદ્યાર્થીઓએ ટોપ-50માં મેદાન માર્યું. 29મો રેન્ક મેળવનાર તીર્થે ફસ્ટ ટ્રાયલે એકઝામ ક્રેક કરી. તો ફ્રુટની લારી ચલાવતા પિતાની દીકરીએ પણ પરીક્ષા પાસ કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેફામ બાઈક ચાલકે વિદ્યાર્થિનીઓને પટકી વડોદરામાં ફૂલ સ્પીડમાં આવતા બાઈક ચાલકે ત્રણ વિદ્યાર્થિનીઓને ફંગોળી...એક્ટિવા પર જઈ રહેલી ત્રણ વિદ્યાર્થિનીઓને બાઈકે અડફેટમાં લીધી..એકની હાલત ગંભીર, એકના પગ પરથી રિક્ષા ફરી વળી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દહેજની ભૂખે પરિવાર વેરવિખેર કરી નાખ્યો સુરતના વરાછામાં દહેજની ભૂખથી કંટાળીને એક યુવતીએ લગ્નના 9 મહિનામાં જ આત્મહત્યા કરી લીધી. દીકરીએ રડતા રડતા પિતાને કહેલું- '2 લાખ માટે હેરાન કરે છે'..આ મામલે પતિ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દર્દીના ખાટલામાં ડોક્ટર અને ટેક્નિશીયન સૂઈ ગયા અમદાવાદની એલજી હોસ્પિટલમાં બે ડોક્ટરો, સર્વન્ટ તેમજ ટેકનીશીયન દર્દીના ખાટલા પર સૂઈ ગયા..કેઝ્યુલ્ટી વિભાગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલ તંત્રએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્ચની શરુઆતમાં ગરમીનું ટોર્ચર શરુ માર્ચની શરુઆતમાં જ ગરમીની પણ શરુઆત થઈ ગઈ.24 કલાકમાં તાપમાન 2 તાપમાન વધ્યું,.. હજુ ત્રણ દિવસમાં 5 ડિગ્રી વધવાની આગાહી છે.. 4થી 6 માર્ચ લોકો માટે ભારે રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:55 pm

માળિયા હાટીનામાં HPV રસીકરણનો ભવ્ય પ્રારંભ:કિશોરીઓને ગર્ભાશયના કેન્સર સામે સુરક્ષિત કરવા જૂનાગઢ આરોગ્ય વિભાગનું વિશેષ રસીકરણ અભિયાન

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે રક્ષણ આપવા માટે 'HPV' (Human Papillomavirus) વેક્સિન અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ રસીકરણ કાર્યક્રમનો અત્યંત ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ તાલુકાની ઉગતી પેઢીની કિશોરીઓને ભવિષ્યમાં થતા જીવલેણ કેન્સરના જોખમ સામે મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવાનો છે. આરોગ્ય અને શિક્ષણ વિભાગનું સંકલન આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓએ રસીની અનિવાર્યતા સમજાવતા જણાવ્યું હતું કે, ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે HPV રસી એ સૌથી અસરકારક અને વૈજ્ઞાનિક માધ્યમ છે. આ ઝુંબેશને સો ટકા સફળ બનાવવા માટે શાળાના શૈક્ષણિક સ્ટાફ અને આરોગ્ય ટીમો વચ્ચે સચોટ સંકલન સાધવામાં આવ્યું છે. તાલુકાની તમામ પાત્રતા ધરાવતી બાળાઓને આ રક્ષણાત્મક રસી મળે તે માટે સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. ઝુંબેશને વેગવંતી બનાવવા આયોજન આગામી દિવસોમાં માળિયા હાટીના તાલુકાના અંતરિયાળ ગામો અને તમામ શાળાઓમાં આ અભિયાનને વેગવંતું બનાવવામાં આવશે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર, તમામ મેડિકલ ઓફિસર, RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ની ટીમો તેમજ વિવિધ હાઈસ્કૂલના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના પાયાના કર્મચારીઓ અને સહયોગી સંસ્થાઓ આ સેવાયજ્ઞમાં ખંતપૂર્વક જોડાઈ છે જેથી એક પણ કિશોરી આ સુરક્ષાથી વંચિત ન રહી જાય.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:53 pm

કુવૈત એરપોર્ટ પર ડ્રોન હુમલો:આણંદના બે ગુજરાતીઓ ફસાયા, વિદ્યાનગરનો પરિવાર એથેન્સમાં અટવાયો

અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષની અસર હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ કુવૈત એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ ઘટનામાં આણંદના બે ગુજરાતીઓ કુવૈત એરપોર્ટ પર ફસાયા છે, જ્યારે વિદ્યાનગરનું એક પરિવાર એથેન્સ એરપોર્ટ પર અટવાયું છે. આણંદના ગીતાબેન પટેલ અને ઉમરેઠના જયરાજ શેલત 28 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે અમદાવાદથી કુવૈત પહોંચ્યા હતા. તેઓ કુવૈતથી અમેરિકા જવા રવાના થયા હતા, પરંતુ ટેક-ઓફના અડધા કલાકમાં જ યુદ્ધની સ્થિતિ અને એરપોર્ટ પર હુમલાને કારણે વિમાનને પરત કુવૈત લેન્ડ કરવું પડ્યું હતું. કુવૈત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે હોલીડે-ઇન હોટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ છે અને હોટલની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગીતાબેન પટેલ આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર મુકુંદરાય પટેલના પત્ની છે, જ્યારે જયરાજ શેલત ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સુભાષભાઈ શેલતના પૌત્ર છે અને ન્યૂજર્સી (અમેરિકા) અભ્યાસ તથા નોકરી માટે જઈ રહ્યા હતા. હાલમાં ફસાયેલા મુસાફરો સુરક્ષિત છે, પરંતુ યુદ્ધની ગંભીર સ્થિતિને જોતા ભારતનું વિદેશ મંત્રાલય પણ સક્રિય થયું છે. ફસાયેલા ભારતીયોને પરત લાવવા અથવા તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. બીજી તરફ, વિદ્યાનગરનો યુએસએ સ્થિત ત્રિવેદી પરિવાર એથેન્સ એરપોર્ટ પર અટવાયું છે. છેલ્લા બે દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પ્રેમલત્તાબેન, મુકેશભાઈ, રેખાબેન, રૂતેશભાઈ, પરેશભાઈ, પારુલબેન અને સોહમભાઈ સહિતના સાત સભ્યોનું આ પરિવાર નોવાર્કથી એથેન્સ, દુબઈ થઈને અમદાવાદ આવી રહ્યું હતું. એથેન્સ એરપોર્ટ પર ફ્લાઇટ અટવાતા પરિવાર ભારત ક્યારે પહોંચશે તેની અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે, પરંતુ ભારત આવવાની ફ્લાઇટ રદ થતાં પુનઃ અમેરિકા જવા પણ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:49 pm

ઓઢવમાં હોળીના કલર નાખવા મામલે યુવકનો જીવ ગયો:અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે યુવકને ધક્કો માર્યો, માથામાં ઈંટ વાગતા ગંભીર ઈજા; સારવાર દરમિયાન મોત

હોળી-ધુળેટીનો તહેવાર હોવાને લઈને ધુળેટી રમવા માટે કલર નાખવા બાબતે ઓઢવ વિસ્તારમાં યુવકે જીવ ગુમાવ્યો છે. વૃદ્ધા અને તેમની પૌત્રી પર એક સગીરે કલર નાખ્યો હતો. મહિલાએ સગીરને કલર નાખવાની ના પાડી હોવા છતા તે માન્યો ન હતો. જેથી વૃદ્ધાએ પોતાના પુત્રને બોલાવ્યો હતો. બાદમાં પુત્રે સગીરને અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇને યુવકને ધક્કો મારતા તે નીચે પડતા માથામાં ઇંટ વાગી જતા બેભાન થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં લઇ જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે વૃદ્ધાએ સગીર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોધાવ્યો છે. વૃદ્ધાએ સગીરને કલર નાખવાની ના પાડી છતાં માન્યો નહીંમળતી માહિતી મુજબ ઓઢવ વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધા પરિવાર સાથે રહે છે અને મજૂરીકામ કરે છે. ગત 1 માર્ચે બપોરના સમયે વૃદ્ધા તેમની 14 વર્ષની પૌત્રી સાથે રઘુવીર એપાર્ટમેન્ટના ગેટની બહાર હતા. ત્યારે 17 વર્ષીય સગીર તેમની પાસે આવીને બંનેના માથા પર હોળીનો કલર નાખ્યો હતો. વૃદ્ધાએ સગીરને કલર નાખવાની ના પાડી પરંતુ તે માન્યો ન હતો. અમે ક્રિશ્ચિયન છીએ અમે હોળી રમતા નથીબાદમાં વૃદ્ધા ઘરે ગઈ હતી અને તેમના 35 વર્ષના પુત્રને કહ્યું હતું જેથી યુવકે સગીરને કહ્યુ કે, અમે ક્રિશ્ચિયન છીએ અમે હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇને યુવકને ધક્કો માર્યો હતો. જેથી યુવક નીચે પડી જતા માથાના ભાગે ઇંટ વાગતા બેભાન થઇ ગયો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને યુવકને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા સગીરની અટકાયતસારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે વૃદ્ધાએ સગીર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોધાવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:46 pm

ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ઝુંબેશ:42 જિલ્લા-મહાનગર પ્રભારીઓ અને 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની નિમણૂક, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત બનાવવાનો પ્રયત્ન

ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ અને 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગરમાંથી બહાર પડેલા આ નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. 9 જિલ્લાઓમાં નવા પ્રભારીઓ નિયુક્ત કરાયાસુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી ચૂંટણી અને સંગઠન વિસ્તરણને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પાર્ટી સૂત્રો અનુસાર દરેક પ્રભારીને પોતાના વિસ્તારમાં બૂથ સ્તર સુધી સક્રિયતા વધારવા, સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા અને કાર્યકરો સાથે સીધો સંવાદ વ્યવસ્થા મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે. એવી ચર્ચા છે કે, કેટલાક જિલ્લાઓમાં આંતરિક અસંતોષ શાંત કરવાની કોશિશ પણ છુપાયેલી છે. કેટલાક વરિષ્ઠ નેતાઓને મહત્વના શહેરોની જવાબદારી સોંપાતા સંકેત મળી રહ્યા છે કે સંગઠનમાં ‘પરફોર્મન્સ’ હવે પ્રમોશનની ચાવી બનશે. આવનારા સમયમાં આ પ્રભારીઓની કામગીરી પર જ તેમની રાજકીય ઊંચાઈ નિર્ભર રહેશે, એવું રાજકીય વિશ્લેષકો માનતા દેખાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:45 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખે નશામાં બે કારને ટક્કર મારી, પ્રિન્સિપાલે ગુજરાત કોલેજમાં ચાલતા કાળા કામ ખૂલ્લા પાડ્યા

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:45 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નેશનલ લેવલનો વેઈટલિફ્ટિંગ એથ્લેટ તો ગજબનો ગઠીયો નીકળ્યો, વરાછામાં દહેજે પરિણીતાનો જીવ લીધો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:43 pm

વડનગરના સુંઢીયા પાસે સબમર્સીબલ પંપની ફેક્ટરીમાં ચોરીનો પ્રયાસ:સ્થાનિકોએ પીછો કરીને બે તસ્કરોને રિક્ષા સાથે ઝડપી પાડ્યા, ફેક્ટરીમાંથી વિચિત્ર અવાજ આવતા શંકા ગઈ હતી

વડનગર તાલુકાના સુંઢીયા ગામે હાજીપુર રોડ ચોકડી પર આવેલી એક સબમર્સીબલ પંપની ફેક્ટરીમાં મોડી રાત્રે ચોરી કરવાનો પ્રયાસ કરતા બે તસ્કરોને જાગૃત નાગરિકોએ પીછો કરીને ઝડપી પાડ્યા હતા. આ મામલે ફેક્ટરી માલિકે વડનગર પોલીસ મથકે બે શખસો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. રાતના એક વ્યક્તિએ ફેક્ટરીમાંથી વિચિત્ર અવાજ આવતો હોવાની જાણ કરીસુંઢીયાના રહેવાસી પ્રકાશભાઇ મણીલાલ પટેલ પોતાની ખેતરમાં સબમર્સીબલ પંપની ફેક્ટરી ચલાવે છે. ગત તારીખ 1 માર્ચ, 2026ના રોજ મોડી રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં ગામના જ દિલીપજી ઠાકોરે ફોન કરીને જાણ કરી હતી કે, ફેક્ટરીમાંથી અજીબ અવાજો આવી રહ્યા છે. આ સાંભળી પ્રકાશભાઇ તાત્કાલિક ફેક્ટરીએ દોડી ગયા હતા. પ્રકાશભાઇ અને દિલીપજીએ હિંમત બતાવી તેમનો પીછો કર્યો હતોબંને જણાએ ફેક્ટરીના પાછળના ભાગે જઈને તપાસ કરતા બે અજાણ્યા શખસો દિવાલ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. માલિક અને ગ્રામજનને જોઈ જતા બંને તસ્કરો ત્યાં પડેલી રીક્ષા નંબર GJ-24-W-9801 લઈને ભાગવા લાગ્યા હતા. જોકે, પ્રકાશભાઇ અને દિલીપજીએ હિંમત બતાવી તેમનો પીછો કર્યો હતો અને થોડે દૂર તેમને રીક્ષા સાથે આંતરીને પકડી પાડ્યા હતા. વડનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી પોલીસ તપાસ આગળ હાથ ધરીઝડપાયેલા શખસોની પૂછપરછ કરતા એકનું નામ અલ્કેશ ઉર્ફે ગોપાળ ધરમસીભાઈ દંતાણી (રહે. મહેસાણા, મૂળ હારીજ) અને બીજાનું નામ કરણભાઈ સરતાનભાઈ વાઘરી (રહે. મહેસાણા, મૂળ વિસનગર) હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા PCR વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને શખસોને કસ્ટડીમાં લીધા હતા. વડનગર પોલીસે આ મામલે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:41 pm

ઓપરેશનમાં નસ કપાઈ જવાનો ગંભીર આક્ષેપ:બરવાળાની મહિલાના મોત મામલે ભાવનગર દેવીપૂજક સંઘ દ્વારા કલેક્ટરને આવેદન

અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બરવાળાની એક મહિલાનું શંકાસ્પદ મોત નીપજતા સમગ્ર દેવીપૂજક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે ભાવનગર જિલ્લા વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે, ​ભાવનગર જિલ્લા વિરાટ દેવીપૂજક સંઘના પ્રમુખ સુરેશએ જણાવ્યું હતું કે, બરવાળા તાલુકાના વતની એક મહિલા દર્દીને વધુ સારી સારવારની આશાએ અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ગત 16 તારીખે એડમિટ થયા બાદ 17 તારીખે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને આક્ષેપ છે કે ઓપરેશન દરમિયાન ડોક્ટરોની બેદરકારીથી લોહીની નસ કપાઈ ગઈ હતી, નસ કપાઈ ગઈ હોવાની જાણ પરિવારને કરવામાં આવી નહોતી, ઉલટાનું, 12 થી 15 બોટલ લોહી મંગાવીને ચડાવવામાં આવ્યું હતું, છતાં મહિલાને બચાવી શકાયા નહીં. ડોક્ટરોની ભૂલને કારણે જ મહિલાનું મૃત્યુ થયું છે, ​આ ઘટનાને 10 થી 12 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પીડિત પરિવારને ન્યાય મળ્યો નથી, મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે, પરંતુ 10 દિવસ પછી પણ રિપોર્ટ આપવામાં આવ્યો નથી, હાલ ભાવનગર હોસ્પિટલ ખાતે સમાજના લોકો ન્યાય માટે આંદોલન પર બેઠા છે, સુરેશએ દુઃખ સાથે જણાવ્યું કે, હિન્દુ સંસ્કૃતિ મુજબ આટલા દિવસો સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર ન થાય તે અત્યંત દુઃખદ અને તંત્રની નિષ્ફળતા છે, ​આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા સમાજના અગ્રણીઓએ નીચે મુજબની માંગણીઓમાં બેદરકારી દાખવનાર જવાબદાર ડોક્ટરો અને હોસ્પિટલ તંત્ર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે, પીડિત પરિવાર અત્યંત ગરીબ હોવાથી સરકાર તરફથી યોગ્ય વળતર મળે, પીએમ રિપોર્ટ તાત્કાલિક જાહેર કરી સત્ય બહાર લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:40 pm

ગાંધીનગરમાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહન:35 ફૂટ ઊંચી હોળીની 100 ફૂટ ઊંચે જ્વાળાઓ, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે; પાલજમાં 700 વર્ષ જૂની પરંપરા આજેપણ અકબંધ

રાજ્યભરમાં આજે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર નજીક આવેલા પાલજ ગામમાં આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવશે. મહાકાળી માતાના પૂજન સાથે પ્રગટાવામાં આવનાર 35 ફૂટ જેટલી ઊંચી હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પાલજમાં 35 ફૂટ ઊંચી ભવ્ય હોલિકા દહનગાંધીનગર નજીક આવેલા પાલજ ગામમાં આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવશે. પાલજમાં 30 X 35 ની સાઈઝની ભવ્ય હોળી તૈયાર કરવામાં આવી છે, જેની જ્વાળાઓ 100 ફૂટ ઊંચે સુધી જતી હોવાથી એક અલૌકિક નજારો જોવા મળશે. વર્ષો જૂની માન્યતા મુજબ હોળી પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાઓ જે દિશામાં જાય છે, તેના પરથી આગામી વર્ષ કેવું જશે તેની ભવિષ્યવાણી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. ગ્રામજનો ધગધગતા અંગારા પર ચાલે છેપાલજની હોળીની સૌથી મોટી વિશેષતા અંગારા પર ચાલવાની પરંપરા છે. હોળી પ્રાગટ્ય બાદ સૌ પ્રથમ મહાકાળી મંદિરના પૂજારી અને ત્યારબાદ ગ્રામજનો ‘જય મહાકાળી’ના નાદ સાથે ધગધગતા અંગારા પર ચાલે છે. શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા છે કે આ અંગારા પર ચાલવા છતાં આજદિન સુધી કોઈને ઈજા થઈ નથી કે કોઈના પગમાં ફોલ્લા પણ પડ્યા નથી. એટલું જ નહીં હોળીનો તાપ લેવાથી વર્ષ દરમિયાન સામાન્ય તાવ જેવી બીમારી પણ આવતી નથી તેવી લોકવાયકા છે. હોળીના દિવસે ઘરે-ઘરે લાડુ બનાવી પર્વની ઉજવણીઆ હોળીના પ્રાગટ્ય માટે ગામના 80 જેટલા યુવાનો 10થી 15 દિવસ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. આ વર્ષે પણ આશરે 200થી 300 ટન લાકડાં એકઠા કરીને 35 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવામાં આવી છે. ગ્રામજનો હોળીમાં હોમવા માટે કેરી, મહુડો અને રાયસના ડોડાના હાર વિશેષ રીતે બનાવીને લાવ્યા છે. અંદાજે હજારથી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં આજે હોળીના દિવસે ઘરે-ઘરે લાડુ બનાવીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રગ્રહણને કારણે હોળીના મુહૂર્તમાં ફેરફારજોકે, આ વર્ષે ચંદ્રગ્રહણની અસર હોવાના કારણે હોળીના મુહૂર્તમાં ફેરફાર થયો છે. સામાન્ય રીતે હોળીનું ફાગણ સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય થતું હોય છે, પરંતુ આ વખતે આજે સોમવાર 2 માર્ચના રોજ સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવી હતી. આવતીકાલે મંગળવારે ધૂળેટીના બદલે ધોકો પાળવામાં આવશે અને બુધવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:39 pm

સુરતના CASO કુમાર અભિષેક રાષ્ટ્રીય સ્તરે સન્માનિત:દિલ્હીમાં આયોજિત કનેક્શન્સ 2026 કાર્યક્રમમાં જનસેવા માટે IIMCAA એવોર્ડથી નવાજવામાં આવ્યા

સુરત એરપોર્ટ પર સુરક્ષાની કમાન સંભાળતા CISF યુનિટના કમાન્ડન્ટ અને મુખ્ય એરપોર્ટ સુરક્ષા અધિકારી (CASO) કુમાર અભિષેકના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. તાજેતરમાં તેમને પ્રતિષ્ઠિત ‘IIMCAA એવોર્ડ-2026 ફોર પબ્લિક સર્વિસ’ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ભવ્ય સન્માન સમારોહ નવી દિલ્હીના ચાણક્યપુરી સ્થિત પીએસઓઆઇ ક્લબ ખાતે 28 ફેબ્રુઆરી, 2026ના રોજ 14મા વાર્ષિક પૂર્વવિદ્યાર્થી મિલન “કનેક્શન્સ 2026”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IIMCAA એવોર્ડ્સના 10મા સંસ્કરણ દરમિયાન કુમાર અભિષેકને જનસેવા અને સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ ગૌરવશાળી પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. નેતૃત્વ અને વ્યાવસાયિક સફળતા કુમાર અભિષેક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) ની એચજે બેચ (2009-10) ના પૂર્વ વિદ્યાર્થી છે. સુરત એરપોર્ટ પર કમાન્ડન્ટ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે માત્ર વ્યાવસાયિક ક્ષમતા જ નહીં, પરંતુ માનવીય અભિગમ સાથે ઉત્તમ નેતૃત્વ પૂરું પાડ્યું છે. સુરત એરપોર્ટ પર સીમાચિહ્નરૂપ કામગીરી તેમના માર્ગદર્શન હેઠળ CISF યુનિટ દ્વારા એવિએશન સિક્યોરિટીને અત્યંત મજબૂત બનાવવામાં આવી છે. સુરક્ષાની સાથે સાથે મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને સ્થાનિક સમુદાય સાથે સહભાગિતા કેળવવા માટે તેમણે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. તેમની આ કર્તવ્યનિષ્ઠા અને સામાજિક નિષ્ઠાને આજે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:38 pm

સુરત પાસપોર્ટ ઓફિસને ત્રણ દિવસ બાદ ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી:ધમકીભર્યો મેઇલથી કચેરી ખાલી કરવાઈ; બોમ્બ-ડોગ સ્ક્વોડનું સર્ચ શરૂ

સુરતની પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા નાચભાગ મચી ગઈ છે. ત્રણ દિવસ પહેલાં એટલે કે, 27 ફેબ્રુઆરીને શુક્રવારે પણ આ જ પ્રકારે ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જે બાદ આજે (2 ફેબ્રુઆરી) ફરી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વારંવાર મળી રહેલી આ ધમકીઓને પગલે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ આ અજાણ્યા મેઇલ મોકલનાર શખસને શોધી કાઢવા માટે સાયબર સેલની મદદ લઈ રહી છે. ત્રણ દિવસમાં બીજીવાર ધમકી27 ફેબ્રુઆરીના સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ મેઇલ બાદ સાવધાનીને પગલે રાજ્યની તમામ પાસપોર્ટ ઓફિસો અને પોસ્ટ ઓફિસને એલર્ટ કરાઈ હતી. સાથે જ કચેરીઓ ખાલી કરાવી ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીઘો હતો. (સંપૂણ લાઈવ અપડેટ માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:33 pm

સાળંગપુરમાં સખી મંડળની બહેનોની હસ્તકલા:મિશન લાઈફ મેળામાં ભાગ લઈ આર્થિક રીતે પગભર બન્યા

બોટાદના સાળંગપુર મંદિર ખાતે તાજેતરમાં યોજાયેલા મિશન લાઈફ અંતર્ગત સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળામાં સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો. આ મેળામાં વાસુ ગ્રુપના રેખાબેન ભડાણીયાએ પોતાની હસ્તકલાનું પ્રદર્શન કર્યું હતું. તેઓ છેલ્લા દસ વર્ષથી સિલ્કની દોરી અને અન્ય કાપડનો ઉપયોગ કરીને હિંચકા, મોબાઈલ સ્ટેન્ડ, તોરણ, રૂમાલ, શો પીસ અને ગાદી જેવી વિવિધ વસ્તુઓ જાતે બનાવે છે. રેખાબેન આ તમામ ચીજવસ્તુઓ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશમાં તેનું વેચાણ પણ કરે છે. આ રીતે તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે અને પરિવારના ગૃહલક્ષ્મી સમાન ભૂમિકા ભજવે છે. મિશન લાઈફ અંતર્ગત તેમને પોતાની ચીજવસ્તુઓ વેચવા માટે સ્ટોલ, રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ સુવિધાઓ બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:32 pm

દિલ્હીમાં યોજાયો વિશ્વનો પ્રથમ 'વરદાન ફિલ્મ ફેસ્ટિવલ':વરદાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં નિલેશ માંડલેવાલાનું સન્માન અને કાયા ફિલ્મની વિશેષ સિદ્ધિ

માનવતાના સર્વોચ્ચ દાન એવા અંગદાન, દેહદાન અને નેત્રદાનને સમર્પિત વિશ્વનો સૌપ્રથમ વરદાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ તાજેતરમાં દેશની રાજધાની દિલ્હીમાં સંપન્ન થયો. દધિચી દેહદાન સમિતિ અને સંપ્રેષણના નેજા હેઠળ ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી ખાતે 26 અને 27 ફેબ્રુઆરી દરમિયાન આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું ઉદ્ઘાટન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલ અંગદાનની ચળવળમાં એક નિર્ણાયક વળાંક સાબિત થશે અને સમાજની માનસિકતામાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતની જાણીતી સંસ્થા 'ડોનેટ લાઈફ' દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓએ મેદાન માર્યું છે. સંસ્થા દ્વારા અંગદાનની જનજાગૃતિ માટે નિર્મિત અને સત્ય ઘટના પર આધારિત અત્યંત સંવેદનશીલ લઘુ ફિલ્મ “KAAYA - THE MISSION OF LIFE” ને 'BEST SHORT FILM' તરીકે વિજેતા જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં માનવીય સંવેદનાઓ અને જીવનદાનના સંદેશને ખૂબ જ અસરકારક રીતે વણી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સંસ્થાના પ્રેરણાદાયી ગીત “અંગદાન કરલે રે માનવ, તું ઈશ્વર બન જાયેગા” ને મ્યુઝિક વિડિયો કેટેગરીમાં 'ફર્સ્ટ રનર અપ' જાહેર કરવામાં આવ્યો છે. અંગદાનના ક્ષેત્રમાં વર્ષોથી અવિરત કાર્ય કરી રહેલા ડોનેટ લાઈફના સંસ્થાપક નિલેશ માંડલેવાલાના યોગદાનની આ મંચ પર વિશેષ નોંધ લેવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાના હસ્તે નિલેશ માંડલેવાલાને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દધિચી દેહદાન સમિતિના સંસ્થાપક આલોક કુમારે નિલેશ માંડલેવાલાના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમનું જીવન સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. આ ફિલ્મ અને સંગીત જેવા સર્જનાત્મક માધ્યમો દ્વારા છેવાડાના માનવી સુધી અંગદાનનો સંદેશ પહોંચાડવાનો સંસ્થાનો પ્રયાસ સફળ રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુર, જાણીતા અભિનેતા મનોજ જોષી અને સાંસદ મનોજ તિવારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હ્રદય ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. અનિલ અગ્રવાલ, વરિષ્ઠ પત્રકાર અનંત વિજય, દધિચી દેહદાન સમિતિના અધ્યક્ષ મહેશ પંત, મહંત વરુણ શર્મા, પદ્મશ્રી નલિની-કમાલિની તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:31 pm

શહેરમાં આજે 400થી વધુ જગ્યાએ થશે હોલિકા દહન:ભક્ત પ્રહલાદ અને હોલિકાની પ્રતિમા સાથેની ફરતી હોળી આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળી-ધૂળેટીનાં પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજરોજ રાજકોટ શહેરમાં 400થી વધુ મળી સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ 5000થી વધુ જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ઠેર-ઠેર હોલિકા દહનને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો ક્યાંક રંગોળી સાથે તો ક્યાંક ફરતી હોળી તો ક્યાંક 1 લાખ છાણાં સાથે વૈદિક મંત્રોચાર સાથે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પૂનમના દિવસે સાંજે 8 વાગ્યા બાદ હોળી પ્રગટાવવામાં આવશે. રાજકોટમાં ઠેર-ઠેર પરંપરાગત રીતે હોળીની રચનાહોળી માત્ર રંગોનો તહેવાર નહીં, પરંતુ તે બુરાઈ પર અચ્છાઈની જીતનું પણ પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પરંપરાતગ રીતે હોલિકા દહન કરવામાં આવે છે, જેમાં લાકડાની સાથે સાથે છાણા પણ સળગાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પરંપરાગત રીતે છાણાની સુંદર હોળીની રચના કરવામાં આવી છે, જેમાં આસ્થા અને ઉત્સાહ સાથે ભક્તો દર્શન અને હોળી પ્રગટાવવાની વિધિમાં ભાગ લેવા માટે આતુર જોવા મળી રહ્યા છે. 400થી વધુ જગ્યાએ હોલિકા દહનનું આયોજનહિન્દુ શાસ્ત્રોમાં હોળી અને ધૂળેટી પર્વનું અનેરું મહત્વ સમાયેલું છે. આ પર્વને ઉજવવા માટે રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. આજે આખા શહેરમાં શેરી મહોલ્લા અને મંદિરોમાં મળી લગભગ 400થી વધુ જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગ્રહણના સંયોગ વચ્ચે આજરોજ હોળી પ્રાગટ્ય પછી એક દિવસના વિરામ બાદ બુધવારે ધુળેટીની રંગારંગ ઉજવણી થશે. નિર્દયી રાજા હિરણ્યકશીપુ અને ભગવાની ભક્તિ, શ્રદ્ધાને વરેલા ભક્ત પ્રહ્લાદની જીવનગાથા સાથે સંકળાયેલા હોળી પર્વ વેળાએ રાજકોટમાં અનેક સ્થળે હોળી પ્રાગટ્યના આયોજનો કરવામાં આવ્યા છે. દરમિયાન સંધ્યાકાળે લાખો શહેરીજનો હોળી પર્વના ભાગરૂપે વાસ્તવિક જીવનમાં નકારાત્મક ઊર્જાને તિલાંજલી આપી, હોળીની જ્વાળામાં ભસ્મ કરી સકારાત્મક ઊર્જા મેળવવાનો અવસર મનાવશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:28 pm

સાબરકાંઠામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ:પ્રથમ દિવસે 1221 દીકરીઓને રસી અપાઈ, જિલ્લામાં કુલ 14155 દીકરીઓને રસી આપવાનો લક્ષ્યાંક

સાબરકાંઠા જિલ્લામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 50 આરોગ્ય કેન્દ્રો અને 13 સામુહિક આરોગ્ય કેન્દ્રો પર સવારે 9 થી બપોરે 2 વાગ્યા દરમિયાન 1221 દીકરીઓને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 14,155 દીકરીઓને રસી આપવાનો લક્ષ્યાંક છે. આ રસીકરણ કાર્યક્રમનો શુભારંભ હિંમતનગર તાલુકાના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો હતો. 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “બેટી બચાવો બેટી પઢાવો” સૂત્રને સાકાર કરવા માટે યોજાયો હતો. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન CDHO અને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ HPV રસી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે CDHO ડૉ. રાજ સુતરીયા, THO રાજેશ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દિલીપસિંહ મકવાણા, જિલ્લા સદસ્ય રમીલાબેન પટેલ, સુરેશ પટેલ સહિત ગામના આગેવાનો, વાલીઓ અને દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:24 pm

સાબરમતીના કિનારે સર્જાશે આધ્યાત્મિક સંગમ:50,000 ભાવિકોની હાજરીમાં SMVS સંસ્થા દ્વારા ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન

અમદાવાદની પવિત્ર સાબરમતી નદીનો કિનારો આગામી 4 માર્ચ 2026ના રોજ એક અવિસ્મરણીય આધ્યાત્મિક ક્ષણનો સાક્ષી બનશે. SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજીનો 93મો પ્રાગટ્ય મહોત્સવ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અત્યંત ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. બુધવારે સાંજે 4.30 થી 8.30 વાગ્યા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં ભક્તિ અને કલાનો અદભૂત સમન્વય જોવા મળશે. “સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી” થીમ આ વર્ષની ઉજવણી “સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી” થીમ પર આધારિત છે. આ થીમ દ્વારા ગુરુદેવ બાપજીના દિવ્ય જીવન, તેમના આદર્શો અને સમાજ ઘડતરમાં તેમના પ્રદાનને કલાત્મક પ્રસ્તુતિઓ અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા જીવંત કરવામાં આવશે. ઉપસ્થિત ભાવિકોને ગુરુદેવના સંસ્કારમય કાર્યોની ઝાંખી કરાવતો એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણવા મળશે. વિશ્વવ્યાપી સેવાનું વટવૃક્ષ: SMVS સંસ્થા અમદાવાદના વાસણા વિસ્તારમાંથી એક નાના બીજ રૂપે શરૂ થયેલી SMVS સ્વામિનારાયણ સંસ્થા આજે વટવૃક્ષ બની ચૂકી છે. હાલમાં આ સંસ્થા વિશ્વના 10થી વધુ દેશોમાં 150થી વધુ મંદિરો અને સત્સંગ કેન્દ્રો દ્વારા કાર્યરત છે. સંસ્થાના 100થી વધુ સંતો અને 15,000થી વધુ સમર્પિત કાર્યકરો શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં રાત-દિવસ કાર્યરત છે. ભવ્ય આયોજન અને મહાનુભાવોની ઉપસ્થિતિ આ મહોત્સવમાં દેશ અને વિદેશમાંથી આશરે 50,000થી વધુ હરિભક્તો ઉમટી પડવાની શક્યતા છે. કાર્યક્રમના ગૌરવમાં વધારો કરવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા શહેરના અન્ય અગ્રગણ્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સ્થળ પર વિશાળ સ્ટેજ, હજારો લોકોની બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ માટેની કામગીરી પૂર્ણતાના આરે છે. સ્થળ સાથે જોડાયેલી ખાસ સ્મૃતિઓ નોંધનીય છે કે વર્ષ 1933માં જન્મેલા ગુરુદેવ પ.પૂ. બાપજી વર્ષ 2019માં અંતર્ધ્યાન થયા હતા. તે સમયે પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જ તેમને વિશાળ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. હવે ફરી એ જ પવિત્ર સ્થળે તેમનો 93મો પ્રાગટ્ય મહોત્સવ યોજાઈ રહ્યો હોવાથી હરિભક્તોમાં ભારે ઉત્સાહ અને ભાવુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આ ભવ્ય ભક્તિ મહોત્સવમાં સહભાગી થવા સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:20 pm

રાજકોટ ભાજપના 2 નેતાને નોટિસ:ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન સરગમ કલબને સોંપવાના વિવાદમાં સ્ટે.કમિટીના પૂર્વ ચેરમેન ઉપાધ્યાય - પટેલને જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના 2012 થી અત્યાર સુધી સરગમ ક્લબને સોંપી દેવા મામલે જાગૃત નાગરિક દ્વારા રાજકોટ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે કોર્ટે બંને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવા ભાજપના નેતા ડૉ.જૈમન ઉપાધ્યાય અને પુષ્કર પટેલને પોતાનો જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યુ છે. જે અંગેની હકીકત જણાવતા જાગૃત નાગરિક આનંદ વ્યાસે જણાવ્યુ હતુ કે, વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમની ટેન્ડર પ્રક્રીયા કર્યા વિના અને કોઈપણ પ્રકારના ચાર્જ વીના સરગમ કલબને સોંપી દેવામાં આવ્યુ છે. જે ઠરાવ પ્રક્રીયા વર્ષ-2012 માં કરવામાં આવી હતી. આ ઇન્ડોર સ્ટેડિયમને 5 વર્ષ માટે સરગમ ક્લબનો નિર્ણય કરાયો હતો જ્યારે અન્ય રમત-ગમતના ગ્રાઉન્ડોને 2 વર્ષ માટે વાર્ષીક મોટી રકમ વસુલીને આકરી શરતોને આધીન સોંપણી કરવામાં આવે છે. તેમણે જણાવ્યુ કે, એથ્લેટીક ગ્રાઉન્ડની પાછળ આવેલ લોન ટેનીસ કોર્ટ, ઈન્ડોર સ્ટેડીયમની સામે આવેલ લોન ટેનીસ કોર્ટ, ઈન્ડોર સ્ટેડીયમની પાસે આવેલ સ્કેટિંગ રીંગ, માધવરાય ક્રીકેટ સ્ટેડીયમાં આવેલ 4 ક્રીકેટ પીચ, એથ્લેટીક ગ્રાઉન્ડની પાસે આવેલ ફુટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્સ મેઈન ફુટબોલ ગ્રાઉન્ડના ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત અન્ય રમત-ગમતો, સ્વીમીંગ પુલ, એથ્લેટીક ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ કોર્ટ, જીમ, યોગ સેન્ટર, તથા હેન્ડ બોલનું સંચાલન રાજકોટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. જયારે સરગમ કલબને કોર્પોરેશન દ્વારા વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમનું સંચાલન કોઈપણ જાતના ચાર્જ વિના 5 વર્ષ માટે સોંપવામાં આવે છે. જેને વર્ષ 2012 થી 2017 સુધી દર વર્ષે વાર્ષિક ગ્રાન્ટ પેટે રૂ.4.80 લાખ ફાળવવામાં આવેલા છે. જે કોર્પોરેશન દ્વારા મેઈન્ટેનન્સ પેટે આપવામાં આવ્યા અને ત્યારબાદ 5 વર્ષ માટે વર્ષ 2017 થી 2022 સુધી તેમજ વર્ષ 2022 થી 2027 સુધી ટેન્ડર વગર માત્ર ઠરાવ પ્રક્રીયાથી સરગમ કલબને સંચાલન સોંપવામાં આવેલ છે. જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી RTI માં સામે આવ્યુ હતુ કે, ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન ગેરકાયદેસર રીતે ટેન્ડર વિના માત્ર ઠરાવથી આપવામાં આવ્યુ. જેથી તેમણે આ ગેરકાયદેસર પ્રક્રિયા દ્વારા ગેરકાયદેસર ઠરાવને રદ કરવા કોર્ટમાં દાવો દાખલ કર્યો. જેથી વર્ષ 2012 માં ઠરાવ કરનાર સ્ટેન્ડીંગ કમીટીના તત્કાલીન ચેરમેન ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તથા વર્ષ 2017 અને 2022 મા ઠરાવ કરનાર તત્કાલીન સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા કમીટીના સભ્યોને પક્ષકાર તરીકે પોતાનો જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકાવામાં આવી છે. જેમાં એડવોકેટ તરીકે એ. એસ. હિંગોરજા રોકાયેલ છે. જ્યારે આ બાબતે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે, મને કોર્ટની લીગલ નોટિસ મળી નથી પરંતુ જૈમનભાઈનો મને ફોન આવ્યો હતો કે ઇન્ડોર સ્ટેડિયમ સંચાલન બાબતે પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. જોકે મારી જાણ મુજબ ટેન્ડર પ્રક્રિયા કે ચાર્જ વિના કઈ થયું ન હોય. મ્યુનિસિપલ કમિશનર તરફથી દરખાસ્ત આવી હોય અને ત્યારબાદ જ ગ્રાઉન્ડનું સંચાલન સોંપાયું હોય. જેથી અમે અમારો જવાબ રજૂ કરી આપશું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:14 pm

મામાના ઘેર હોળી ઊજવવા ગયેલો વડોદરાનો યુવક કેનાલમાં ડૂબ્યો:19 વર્ષીય માસૂમ 24 કલાકથી ગુમ, ફાયરબ્રિગેડને ઘટનાસ્થળે કપડા-ચપ્પલ અને મોબાઈલ જ મળ્યા

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા કરાડા ખાતે હોળીની ઉજવણી માટે મામાના ઘરે ગયેલો 19 વર્ષીય યુવક હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા 24 કલાકથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાસ્થળે ફક્ત યુવકના કપડા, મોબાઈલ અને ચપ્પલ મળતા હાલ યુવક કેનાલમાં ડૂબીને મૃત્યુ પામ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ગઈકાલથી ફાયરબ્રિગેડની ટીમ યુવકની શોધખોળમાં લાગેલી છે અને આજે વડોદરા મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ત્રણ ટીમો (જાળ, બોટ અને કિનારાની તપાસ) સાથે વ્યાપક સર્ચ ઓપરેશન ચાલુ છે. હોળી ઊજવવા માટે ભાણિયો મામાના ઘરે આવ્યો હતોમળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ પર વાલ્મિકીનગરમાં રહેતા હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા (ઉંમર વર્ષ 19) વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મોટા કરાડા ખાતે રહેતા તેમના મામાના ઘરે થોડા દિવસ રહેવા માટે ગયો હતો. હોળી પર્વ નજીક હોવાથી મામાના ઘરે હોળી કરવા માટે યુવક ગયો હતો. ભાણો આવ્યો હોવાથી મામાનો પરિવાર પણ ખુશ હતો. મિત્રો સાથે કેનાલ પર ન્હાવા માટે આવ્યો ને ગુમ થયોઆ દરમિયાન ગઈકાલે 1 માર્ચના રોજ હર્ષિલ વસાવા તેના મિત્રો સાથે સેગવા ગામ નજીક આવેલી કેનાલ પર ન્હાવા માટે ગયો હતો પરંતુ, ઘરે પરત ન આવતા પરિવારના સભ્યો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ સમયે કેનાલ નજીકથી તેના કપડા ચંપલ મોબાઇલ મળી આવ્યા હતા. હર્ષિલ વસાવા કેનાલના પાણીમાં પ્રવાહમાં ડૂબીને તણાઈ ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે યુવકની સાથે કોણ ન્હાવા માટે ગયુ હતું, તે હજી બહાર આવ્યું નથી. કદાચ યુવકને ડૂબતો જોઈને તેના મિત્રો ગભરાઈને ક્યાંક ભાગી ગયા હોય એવી શક્યતા છે. ફાયરબ્રિગેડના જવાનોએ ગઈકાલથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યુંકરજણ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગઈકાલે કેનાલના પાણીમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ, કોઈ પત્તો નહીં લાગતા આજે વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી વડોદરાની મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ કેનાલ પર પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલા 19 વર્ષના યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. જેને કારણે પરિવારજનો ચિંતામાં મુકાયા છે. અમે ત્રણ ટીમો બનાવીને યુવકની શોધખોળ શરૂ કરી છેવડોદરાના મકરપુરા ફાયર સ્ટેશનના સર સૈનિક વિપુલભાઈ સાધુએ જણાવ્યું હતું કે, અમે ત્રણ ટીમો બનાવીને યુવકની શોધખોળ શરૂ કરી છે. એક ટીમ કેનાલમાં જાળ નાખે છે, એક બોટથી શોધખોળ કરી રહી છે અને એક ટીમ કિનારે ચાલીને ઝાડી-ઝાંખરામાં તપાસ કરી રહી છે. ગઈકાલે બપોરે 2:00થી 2:30 વાગ્યાની આસપાસની ઘટના છે. ગઈકાલે કરજણની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, આજે અમને યુવકની શોધખોળ માટે બોલાવ્યા છે. અમે યુવકને શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:13 pm

ધરમપુરમાં હોળી હાટ બજાર ભરાયું, માનવ મહેરામણ ઉમટ્યું:આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું, પરંપરાગત ઉજવણીનો માહોલ

વલસાડ જિલ્લાના ધરમપુરમાં હોળી પર્વ નિમિત્તે પરંપરાગત ‘હોળી હાટ’ બજાર ભરાયું હતું. હોળીના ગણતરીના દિવસો બાકી હોવાથી આજે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર નગરમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. આસપાસના 100થી વધુ ગામડાઓમાંથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં હાજર રહ્યા હતા. હાટ બજારમાં પાવરી, તુર અને ઢોલના તાલે યુવાનો નૃત્ય કરતા જોવા મળ્યા હતા. ચહેરા પર ભભૂતિ લગાવી અને દેવી-દેવતાઓના મહોરા પહેરી 'ફગવા' માંગતા ઘેરૈયાઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નાનાથી લઈને વડીલો સુધી સૌએ આ પરંપરાગત ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બજારમાં હોળી પર્વ સંબંધિત ખજૂર, ધાણી, મમરા, નાળિયેર અને ગોળના હારડાની હાટડીઓ ગોઠવાઈ હતી. ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા લોકોએ હોળી પૂજા અને ઘરગથ્થુ ઉપયોગ માટે જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. ખેત ઉત્પાદનોના વેચાણ સાથે એક જ દિવસમાં લાખો રૂપિયાનો વેપાર થયો હોવાનો અંદાજ છે. હોળી આદિવાસી સમાજ માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે. રોજગાર માટે મુંબઈ, સુરત અને અન્ય શહેરોમાં ગયેલા પરિવારો હોળીની ઉજવણી કરવા વતન પરત ફર્યા હતા. આ કારણે એસ.ટી. બસો અને ખાનગી વાહનોમાં મુસાફરોની ભારે અવરજવર જોવા મળી હતી. ધરમપુરની રાજવાડી નગરીમાં આવેલા દરબાર ગઢ અને લક્ષ્મીનારાયણ મંદિર નજીક આ હાટ ભરાય છે. અહીં શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળે છે. સ્થાનિકોના મતે, હોળીના આઠ દિવસ પહેલાંથી જ હાટ ભરાવાની શરૂઆત થઈ જાય છે. આ બજાર માત્ર ખરીદીનું સ્થળ નથી, પરંતુ સામાજિક મિલન અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક પણ છે. ધરમપુર હોળીના પર્વને આવકારવા માટે સજ્જ છે. આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું આ ‘હોળી હાટ’ સમગ્ર પંથક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:11 pm

અમદાવાદ એરપોર્ટ પરથી આજે 19 ફ્લાઈટ કેન્સલ:ઈરાન-ઇઝરાઇલ યુદ્ધને કારણે અનેક દેશના એર સ્પેસ બંધ, જાણો તમારી ફલાઈટ તો રદ નથી ને

ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક દેશોએ પોતાની એર સ્પેસ બંધ કરી દેતા તેની સીધી અસર અમદાવાદ એરપોર્ટ પર પણ જોવા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કુલ 19 ફ્લાઈટ આજે કેન્સલ થઈ છે. જેમાંથી 13 અરાઇવલ અને 6 ડિપાર્ચર ફ્લાઇટ કેન્સલ થઈ છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:04 pm

‘ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે’:વિદ્યાર્થિનીઓ પર ખરાબ કોમેન્ટ થતી હોવાનો આક્ષેપ, વિદ્યાર્થીએ ખોટું સોગંદનામું કરી એડમિશન લીધું હોવાનો પ્રિન્સિપાલનો દાવો

ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે, આવું અમે નહીં પણ કોલેજના પ્રિન્સિપાલ જ કહી રહ્યા છે. ગુજરાત કોલેજમાં ત્રણ-ત્રણ પ્રિન્સિપાલ દ્વારા પોલીસ સ્ટેશનમાં અનેક વખત અરજી કરવામાં આવી છતાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો પ્રિન્સિપાલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત કોલેજમાં પોલિટિકલ પાર્ટીના લોકોએ ખોટી રીતે સોગંદનામું રજૂ કરીને પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. ખોટું સોગંદનામું રજૂ કરીને પોલિટિકલ પાર્ટીના લોકોએ ગુજરાત કોલેજમાં અડ્ડો બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત કોલેજની વિદ્યાર્થિનીઓ પર ખરાબ કોમેન્ટ કરતા હોવાનો પ્રિન્સિપાલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત કોલેજમાં પોલિટિકલ પાર્ટીના લોકોએ અડ્ડો બનાવી દીધો છે: પ્રિન્સિપાલથોડા સમય પહેલાં ગુજરાત કોલેજમાં દારૂની ખાલી બોટલ મળી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. દારૂની ખાલી બોટલ મળવા મુદ્દે દિવ્ય ભાસ્કરે જ્યારે પ્રિન્સિપાલ મનોજ પટેલ સાથે વાત કરી તો તેમણે ચોંકાવનારા ખુલાસા ર્ક્યા છે. દારૂની બોટલ તો દૂરની વાત છે, પરંતુ વર્ષોથી ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોવાનો પ્રિન્સિપાલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પ્રિન્સિપાલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાત કોલેજમાં પોલિટિકલ પાર્ટીના લોકોએ અડ્ડો બનાવી દીધો છે. પોલિટિકલ પાર્ટીની નંબર પ્લેટ લખેલી ગાડી લઈને આંતક મચાવી રહ્યા છે. ‘વિદ્યાર્થિનીઓ પસાર થાય એટલે ખરાબ કોમેન્ટ કરે છે’લીમડા નીચે ખરાબ અવસ્થામાં બેસીને અસમાજિક તત્વો આંતક મચાવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં અસમાજિક તત્વો ગુજરાત કોલેજને અડ્ડો તો બનાવી દીધો છે. સાથે સાથે જે પણ વિદ્યાર્થિનીઓ ત્યાંથી પસાર થતી હોય તો તેમના પર ખરાબ કોમેન્ટ કરતા હોવાનો પણ પ્રિન્સિપાલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ જ્યારે અધ્યાપિકાઓ ત્યાંથી પસાર થાય તો તેમને પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જવું પડે છે. વિદ્યાર્થિનીઓની અનેક વખત રજૂઆત બાદ પણ આચાર્ય અસામાજિક તત્વોનો અડ્ડો દૂર કરવા માટે કઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી. ‘3 વિભાગના પ્રિન્સિપાલે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં’ગુજરાત કોલેજમાં ત્રણ અલગ અલગ વિભાગ છે. તમામ વિભાગના અલગ અલગ પ્રિન્સિપાલ પણ છે. ત્રણેય પ્રિન્સિપાલ દ્વારા અનેક વખત પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ માત્ર બે દિવસ પોલીસ આવી અને તે સમયે અસામાજિક તત્વો ગાયબ થઈ ગયા હતા. તે બાદ ફરી અસામાજિક તત્વોએ ગુજરાત કોલેજને પોતાનો અડ્ડો બનાવી દીધો છે. તે બાદ પણ અનેક વખત રજૂઆત કરી છતાં પોલીસે અસમાજિક તત્વોનો અડ્ડો બંધ કરાવવા કોઈ કાર્યવાહી કરી નથી. કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થામાંથી અસામાજિક તત્વોનો અડ્ડો દૂર થાય તેવી પ્રિન્સિપાલ માગ કરી રહ્યા છે. વિદ્યાર્થીએ ખોટું એફિડેવિટ કરી પ્રવેશ લીધો હોવાના પુરાવા પ્રિન્સિપાલે જાહેર કર્યાદિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પ્રિન્સિપાલે ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. સૌરવ ચાવડા નામના વિદ્યાર્થીએ ખોટું એફિડેવિટ કરીને પ્રવેશ લીધો હોવાના પુરાવા પણ પ્રિન્સિપાલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં ધોરણ 12 પાસ કર્યા બાદ કોઈ કોલેજ કે કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ ન કર્યો હોવાનું વિદ્યાર્થીએ એફિડેવિટ કર્યું હતું, પરંતુ પ્રિન્સિપાલ દ્વારા તપાસ કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે હવે પ્રિન્સિપાલ દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. ‘સંસ્થામાં અસામાજિક તત્વો બેફામ ફરતા હોય તે જોઈને અમારો જીવ બળી જાય છે’પ્રિન્સિપાલ મનોજ પટેલે જણાવ્યું હતું કે, દારૂની બોટલનો વીડિયો સામે આવ્યો છે તેમાં જ્યાં ખાલી બોટલો પડી છે તે બોટલો પગથી ખસેડીને લાવવામાં આવી છે. ગુજરાત કોલેજની બહાર જે ખોટી રીતે પાર્કિંગ થતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે આ સંસ્થામાં વર્ષોથી અસામાજિક તત્વોનો અડ્ડો છે. સંસ્થામાં અસામાજિક તત્વો બેફામ ફરતા હોય તે જોઈને અમારો જીવ બળી જાય છે. ત્રણ કોલેજ છે જેના ત્રણેય આચાર્યોએ લેખિતમાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ આપી હતી. તે બાદ બે દિવસ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવતી હતી, પરંતુ તે લોકોએ આવવાનું બંધ કરી દેતા ફરી અસામાજિક તત્વોએ કોલેજને અડ્ડો બનાવી દીધો છે. ‘કોલેજની બહાર દબાણો હટાવવામાં આવે’કોલેજની વિદ્યાર્થિનીઓને હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે મનોજ પટેલે જણાવ્યું હતું કે, તે બાદ ત્રણેય આચાર્યએ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે કે કોલેજની બહાર દબાણો હટાવવામાં આવે. વિદ્યાર્થિનીઓએ અમને લેખિતમાં રજૂઆત કરી છે કે અમારે નીકળવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે. લીમડા નીચે અસામાજિક તત્વો બેસે છે અને જ્યારે અમે નીકળીએ ત્યારે ખરાબ કોમેન્ટ કરવામાં આવે છે. આચાર્ય તરીકે અમે અસામાજિક તત્વોને ટકોર કરીએ છીએ તો તેમને તે ગમતું નથી. વર્ષોથી ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. ‘રાજકીય પાર્ટીની નેમ પ્લેટ રાખીને કેમ્પસમાં ગાડીઓ લઈને ફરતા હોય છે’ખોટી રીતે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હોવાના દાવા સાથે મનોજ પટેલ જણાવે છે કે, વિજય યાદવ ખોટી રીતે પ્રવેશ કરીને ગાડીઓ લઈને અડ્ડો બનાવે છે. સૌરવ ચાવડાએ ખોટી રીતે સોગંદમાંનું કરીને એડમિશન લીધું છે. તેમજ એક પણ દિવસ આ લોકો વર્ગખંડમાં હાજર રહેતા નથી. અમે ટકોર કરીએ તો ધમકી આપે છે કે અમે વિદ્યાર્થી છીએ તમે અમને રોકી ન શકો. અમારા રેકોર્ડ રૂમમાં ઘૂસીને પણ ધમકી આપી રહ્યા છે. ‘વિદ્યાર્થિનીઓએ પણ લેખિતમાં આપ્યું છે કે અમને આ અસામાજિક તત્વોથી બચાવો’વધુમાં મનોજ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ ખોટી રીતે એડમિશન લીધું છે જેથી અમે હવે તેની સામે ફરિયાદ પણ દાખલ કરીશું. આજ કોલેજમાં અભ્યાસ કર્યો હોવા છતાં એવું એફિડેવિટ કરવામાં આવ્યું છે કે ક્યાંય પણ અભ્યાસ કર્યો નથી. જ્યારે હું ટકોર કરું ત્યારે એવા આક્ષેપ લગાવવામાં આવે છે કે તમે મને ધમકી આપી રહ્યા છો. નવા સીસીટીવી માટે અમે મંજૂરી પણ લઈ લીધી છે. હવે સમગ્ર કેમ્પસમાં સીસીટીવી લગાડીને અમે તમામ દેખરેખ પર ધ્યાન આપીશું. પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને ત્રણ ત્રણ વખત લેખિત રજૂઆત આપી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિદ્યાર્થિનીઓએ પણ લેખિતમાં આપ્યું છે કે અમને આ અસામાજિક તત્વોથી બચાવો. કોલેજ તરફથી કોઈ ફરિયાદ મળી નથી: PIએલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.ભૂવાએ જણાવ્યું કે કોલેજ તરફથી કોઈ ફરિયાદ મળી નથી. અરજી કે રજૂઆત મળશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:03 pm

હિંમતનગર નજીકથી ટ્રકમાંથી રૂ. 77 લાખનો દારૂ ઝડપાયો:ચાલકની ધરપકડ, બે ફરાર આરોપીઓ સામે ગુનો નોંધાયો

સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના કાંકરોલ નજીકથી એક ટ્રકમાંથી રૂ. 77.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી 13,584 બોટલ દારૂ અને બિયરની 669 પેટીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 92.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર-ગાંભોઈ રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCB PI ડી.સી. સાકરીયાને બાતમી મળી હતી કે, DD 01 J 9331 નંબરની એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજસ્થાન-શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહી છે. આ ટ્રક પર તાડપત્રી ઢાંકેલી હતી. આ બાતમીના આધારે, શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવે પર કાંકણોલ ગામની સીમમાં ક્રિષ્ણા સ્વીટ માર્ટ ફરસાણ ફેક્ટરી પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવામાં આવી હતી. ટ્રકના ચાલકની પૂછપરછ બાદ તાડપત્રી હટાવી તપાસ કરતા, ઉપરના ભાગે પ્લાસ્ટિકના કટ્ટા ગોઠવેલા હતા અને તેની નીચે વિદેશી દારૂની 669 પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક દેવેન્દ્ર દાનારામ ગોમારામ જાટ (ઉં.વ. 25, રહે. ભીનમાલ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, દારૂ ભરી આપનાર વાનસીંગ ચારણ (રહે. હનુમાનગઢ, રાજસ્થાન) અને ખોટી બિલટી આપનાર દેવેન્દ્ર બિશ્નોઈ (રહે. સાચોર) સહિત બે ફરાર આરોપીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:57 pm

વી.એન.એસ.જી.યુ. બુક ફેરમાં પત્રકારત્વ વિભાગ બીજા ક્રમે:ગ્રુપ ડિસ્કશન સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સિદ્ધિ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે આયોજિત 'સ્વામી વિવેકાનંદ બુક ફેર–2026' માં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓએ ગ્રુપ ડિસ્કશન સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ તેમને યુનિવર્સિટી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VNSGU પરિસરમાં 22 ફેબ્રુઆરી 2026 થી 1 માર્ચ 2026 સુધી સાત દિવસીય 'સ્વામી વિવેકાનંદ બુક ફેર–2026' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બુક ફેરને પુસ્તક પ્રદર્શન ઉપરાંત વિવિધ શૈક્ષણિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓને કારણે વિદ્યાર્થીઓ અને વાચકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. પુસ્તક પ્રદર્શન સાથે, આ બુક ફેરમાં કોલેજોના વિદ્યાર્થીઓ માટે કવિતા લેખન, કન્ટેન્ટ રાઇટિંગ, ગ્રુપ ડિસ્કશન અને ક્વિઝ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. ખાસ કરીને ગ્રુપ ડિસ્કશન સ્પર્ધામાં કુલ આઠ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં યુનિવર્સિટીના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના બી.એ. જર્નાલિઝમ સેમેસ્ટર–2 ના છ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગ્રુપ ડિસ્કશન બે રાઉન્ડમાં યોજાયું હતું, જેમાં સોશિયલ મીડિયા અને એજ્યુકેશન સિસ્ટમ જેવા સમકાલીન અને મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ બીજા ક્રમે વિજેતા બન્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડા, કુલ સચિવ ડો. રમેશદાન ગઢવી તેમજ વિભાગના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે આ બુક ફેર દ્વારા વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળવા ઉપરાંત વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક ચર્ચા અને સ્પર્ધાત્મક ભાવનાનો પણ વિકાસ થયો છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:50 pm

સાબરકાંઠા LCBએ બે સ્થળેથી દારૂ ઝડપ્યો:1100 બોટલ દારૂ-બિયર સાથે બે ઝડપાયા, ₹6.75 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા LCBએ ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બે અલગ-અલગ દરોડામાં કુલ 1100 બોટલ દારૂ અને બિયર સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કુલ ₹6.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ઘટનામાં, સાબરકાંઠા એલસીબીને રાજસ્થાન તરફથી આવી રહેલી બોલેરો ગાડી (નં. GJ-09-BN-0571) અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે હિંમતનગર-વિજાપુર હાઈવે પરના દેરોલ ગામની સીમમાંથી પસાર થતી શંકાસ્પદ બોલેરોને LCBના PI ડી.સી.સાકરીયાની સૂચનાથી પીએસઆઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી અને સ્ટાફે રોકી હતી. વાહન ચેકિંગ દરમિયાન બોલેરોમાંથી આનંદ નારાયણભાઈ પંડવાળા (રહે. પાલપાદર, તા. બિંછીવાડા) મળી આવ્યો હતો. બોલેરોની તલાશી લેતા તેમાંથી ₹3,20,544 ની કિંમતની 26 પેટીમાં રાખેલી 1032 દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, બિયર અને બોલેરો ગાડી સહિત કુલ ₹6,21,044 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પકડાયેલા આનંદ પંડવાળા તેમજ ફરાર ઉદેપુરના ઈશ્વર રાજપુત અને અમદાવાદના કાલીગ્રામ વિસ્તારના અવધેષ ઉર્ફે રાજુ છારા વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી ઘટનામાં, ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલોડા રોડ પર એક કોલેજ આગળ શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભેલા કેરાભાઈ કેવદાભાઈ રબારી (રહે. લાલોડા રોડ, ઈડર)ની LCBએ અટકાયત કરી હતી. તેની ઝડતી લેતા તેની પાસેથી ₹43,898 ની કિંમતની 77 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત ₹11,000 ના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા, આમ કુલ ₹54,898 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ કેસમાં કેરા રબારી અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હરીરામ ઉર્ફે હરીયો (રહે. લાલોડા, ઈડર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. ફરાર યુવરાજ ઉર્ફે રાજુ (રહે. વડાલી) અને ખેરવાડાના કણબઈના રાજુ ખરાડી સહિત ત્રણ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:49 pm

બોમ્બે મેટલ શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો:વિજ્ઞાન દિન, હોળી અને ચશ્મા વિતરણ કરાયા

પાટણ: ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં તાજેતરમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, નટુભાઈ દરજી અને મનોજભાઈ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વિજ્ઞાન દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના મહેમાનો દ્વારા પ્રથમ નંબર મેળવનાર ટીમને ડિક્શનરી અને થર્મોસ અપાયા હતા. બીજો નંબર મેળવનાર ટીમને પેડ, ડિક્શનરી પાઉચ, બોલપેન, પેન્સિલ, રબર અને સ્કેલની કીટ આપવામાં આવી હતી. જ્યારે તૃતીય નંબર આવનારને પેડ, ડિક્શનરી અને પાઉચ અપાયા હતા. બાકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પાઉચ, બોલપેન, પેન્સિલ, રબર અને સ્કેલની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત આંખોના નંબર ધરાવતા 40 બાળકોને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હોળીના તહેવારની ઉજવણીના ભાગરૂપે, ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના દરેક બાળકોને તિલક હોળી કરાવીને રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેમાનો મનોજભાઈ કે. પટેલ અને નટુભાઈ દરજીએ બાળકોને પરીક્ષા લક્ષી અને ભવિષ્યમાં ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળા પરિવારે તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:49 pm

RTOના નામે APK ફાઈલ ખોલી:ચીખલીના શિક્ષકનો ફોન હેક, ક્રેડિટ કાર્ડમાંથી ₹84 હજાર ઉપડી ગયા

ચીખલીના એક શિક્ષક RTO ઈ-ચલણના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. વોટ્સએપ પર આવેલી એક શંકાસ્પદ .APK ફાઈલ ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ઠગબાજોએ તેમના બે અલગ-અલગ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ₹84,763ની ખરીદી કરી લીધી હતી. આ ઘટના 30 જાન્યુઆરીના રોજ બની હતી. ચીખલીની એજ્યુકેશન સોસાયટી કોમ્પ્યુટર સેન્ટરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નીતીનકુમાર મગનલાલ પટેલના મોબાઈલ પર 'RTO E-CHALAN' લખેલી એક .APK ફાઈલ વોટ્સએપ દ્વારા આવી હતી. તેમણે આ ફાઈલ ખોલતા જ તેમનો વન પ્લસ (1+) મોબાઈલ હેક થઈ ગયો હતો. મોબાઈલ હેક થયાની થોડી જ મિનિટોમાં નીતીનકુમારના HDFC બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ₹79,763 કપાયા હોવાનો મેસેજ આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે ઠગબાજોએ ફ્લિપકાર્ટ પરથી આઈફોન-17 ઓર્ડર કર્યો હતો. આ ઉપરાંત, તેમણે બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એમેઝોન પરથી વધુ ₹5,000ની ખરીદી પણ કરી હતી. શિક્ષક નીતીનકુમારે તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ફ્લિપકાર્ટના ઇન્વોઇસની તપાસ કરતા સામે આવ્યું કે આ ઓર્ડર ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર-110માં રહેતા 'સુરજ' નામના વ્યક્તિએ આપ્યો હતો, જ્યારે ડિલિવરી એડ્રેસ નોઈડા સેક્ટર-83નું દર્શાવવામાં આવ્યું છે. ભોગ બનનાર શિક્ષકે આ મામલે પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. ચીખલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આપેલા મોબાઈલ નંબર (8220756549) ના આધારે તપાસ તેજ કરી છે. સાયબર નિષ્ણાતો આવા કિસ્સાઓમાં સાવચેતી રાખવાની સલાહ આપે છે: કોઈપણ અજાણ્યા નંબર પરથી આવેલી .APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ ન કરવી. RTO કે અન્ય સરકારી વિભાગો ક્યારેય વોટ્સએપ પર ફાઈલ મોકલીને પેમેન્ટની માંગણી કરતા નથી. જો આવી કોઈ છેતરપિંડી થાય, તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરીને ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરાવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:48 pm

સુરતની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 6ઠ્ઠી એલ્યુમની મીટ યોજાઈ:ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ સંસ્થાના વિકાસ પર ચર્ચા કરી

સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઈજનેરી એન્જિનિયરિંગ કોલેજમાં રવિવાર, 01 માર્ચ 2026ના રોજ ૬ઠ્ઠી વાર્ષિક એલ્યુમની મીટ યોજાઈ હતી. કોલેજના એલ્યુમની એસોસિયેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ, વિવિધ વિભાગોના વડાઓ, ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નોંધણી અને દીપપ્રાગટ્યથી થઈ હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક જીવનની યાદો તાજી કરી અને વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વ્યાવસાયિક અનુભવો તથા સફળતાની ગાથાઓ વહેંચી. વિદ્યાર્થીઓએ કારકિર્દી, ઉચ્ચ અભ્યાસ, સરકારી નોકરી, ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ સંબંધિત પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું હતું. ફેકલ્ટી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના ઇન્ટરએક્ટિવ સત્રમાં સંસ્થાના વિકાસ, ઉદ્યોગ-સંસ્થા સહકાર, ઇન્ટર્નશિપ તકો, ગેસ્ટ લેકચર અને મેન્ટરશિપ કાર્યક્રમો પર ચર્ચા થઈ. અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન, તાલીમ અને પ્લેસમેન્ટમાં સહકાર આપવાની ખાતરી આપી. આ પ્રસંગે સંસ્થાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને Lt. Shri Ravikumar Jain memorial Award, Lt. Shri Satishkumar Trivedi, અને Lt. Keyur Patel memorial award હેઠળ ટ્રોફી અને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. એલ્યુમની એસોસિયેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે મેન્ટરશિપ, ટેકનિકલ સેમિનાર, ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ અને શિષ્યવૃત્તિ સહાય જેવી નવી પહેલોની જાહેરાત કરવામાં આવી હતી. એલ્યુમની એસોસિયેશનના પ્રમુખ અને કન્વીનર ડૉ. દર્શન જે. મહેતાએ જણાવ્યું કે, આ એલ્યુમની મીટથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન શૈક્ષણિક પરિવાર વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. આ સહકારથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને તકો મળશે, જે સંસ્થાના સર્વાંગી વિકાસને વેગ આપશે. કાર્યક્રમના સમાપનમાં મહાનુભાવો માટે ભોજન અને અનૌપચારિક સંવાદ સત્રનું આયોજન કરાયું હતું, જ્યાં સૌએ જૂની યાદો તાજી કરી. આ કાર્યક્રમના સફળ આયોજનમાં એલ્યુમની એસોસિયેશનની ટીમ, ફેકલ્ટી સભ્યો અને સ્વયંસેવક વિદ્યાર્થીઓએ સક્રિય સહકાર આપ્યો હતો. સંસ્થાના વડા એસ. આર. જોશીના માર્ગદર્શન હેઠળ એલ્યુમની એસોસિયેશનની કમિટી સભ્યો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:47 pm

WICASA બરોડા દ્વારા વર્ષ 2026-27 માટે નવી મેનેજિંગ કમિટીની જાહેરાત:ચેરપર્સન જિગર શાહની આગેવાનીમાં 2026-27 માટે ટેકનિકલ વર્કશોપ અને સામાજિક સેવાનો સમન્વય

વેસ્ટર્ન ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ્સ એસોસિએશન (WICASA)ની બરોડા શાખા દ્વારા વર્ષ 2026-27ના કાર્યકાળ માટે નવી મેનેજિંગ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરાના CA વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને માર્ગદર્શનના ઉદ્દેશ્ય સાથે એક સુવ્યવસ્થિત ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા આ ટીમની પસંદગી કરાઈ છે, જેમાં ચેરપર્સન તરીકે CA જિગર શાહની નિમણૂક કરવામાં આવી છે. નવી કમિટીનું માળખું આ કમિટીમાં અનુભવી પ્રોફેશનલ્સ અને ઉત્સાહી વિદ્યાર્થી પ્રતિનિધિઓનો સમન્વય જોવા મળે છે. ટીમમાં CA જય શાહ (નોમિનેટેડ મેમ્બર), દેવાંશ ઠાકર (વાઈસ-ચેરપર્સન), વિનિતા સેઠિયા (સેક્રેટરી), ઉર્વી આચાર્ય (જોઈન્ટ સેક્રેટરી અને એડિટોરિયલ હેડ) અને શાશ્વત પાટીલ (ટ્રેઝરર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ધાર્મિક પટાડીયા, પૂર્વા પબારી, યશ ઝિંઝુવાડિયા, મહેક બરજાત્યા અને હાર્દ શાહ વિવિધ વિભાગોની જવાબદારી સંભાળશે. વર્ષ 2026-27ના મુખ્ય લક્ષ્યો નવનિયુક્ત સમિતિએ આગામી વર્ષને 'લર્નિંગ અને ગ્રોથ'નું વર્ષ બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે ટેકનિકલ વર્કશોપ અને મોક એક્ઝામની સાથે સર્વાંગી વિકાસ માટે યોગા, મેડિટેશન અને રમતગમતની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. વિશેષ રૂપે, ચેરિટી અને ડોનેશન ડ્રાઈવ જેવી સામાજિક જવાબદારીઓ પર પણ ખાસ ભાર મૂકવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ વ્યાવસાયિક પડકારો સામે સજ્જ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:47 pm

મોરબીમાં કારના કાચ તોડનાર ત્રિપુટી સામે FIR:15 વાહનોને નિશાન બનાવ્યા, ₹14,000નું નુકસાન

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં શનિવારે રાત્રે અંદાજે 15 જેટલી કારના કાચ તોડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટના શનિવારે રાત્રિ દરમિયાન સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ અને મુનનગર ચોક સહિતના વિસ્તારોમાં બની હતી. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરની બહાર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાખ્યા હતા. રબારી કોલોની સામે સદગુરુ મિલ નજીક રહેતા કાનાભાઈ પાલાભાઈ ડાંગર (ઉં.36) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, વસંત પ્લોટ વિસ્તારમાં માનસ આર્કેડ કોમ્પ્લેક્સ નજીક તેમની કેરી ગાડી (નંબર GJ 3 BZ 4949) અને સાહેદની કાર (નંબર GJ 36 B 0049) ના કાચ ધોકા મારીને તોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં અંદાજે ₹14,000નું નુકસાન થયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. જોકે, કારના કાચ તોડવા પાછળનું કારણ કે વાહનોમાંથી કોઈ સામાનની ચોરી થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:46 pm

અમદાવાદમાં સર્વધર્મ સમન્વયનો અનોખો 'પાલ' યોજાયો:મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન

અમદાવાદમાં શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ અને શ્રી મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ તેરસ, ઢેબરિયા તેરસના દિવસે સર્વધર્મ સમન્વયનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલીતાણાની છ ગાઉ યાત્રાની પ્રતિકૃતિ રૂપે 'પાલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલીતાણામાં છ ગાઉ યાત્રા પૂર્ણ કર્યા બાદ સિદ્ધવડ પાસે યાત્રાળુઓ માટે જૈન ધર્મ અનુસાર વિવિધ ખાદ્યપદાર્થોના 'પાલ' રાખવામાં આવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને, અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં પાલીતાણાના ડુંગરની પ્રતિકૃતિનો એક પટ્ટ લગાવવામાં આવ્યો હતો. આ પટ્ટ સમક્ષ 2000થી વધુ વિવિધ ધર્મના લોકોએ ઉપસ્થિત રહી શુભ દીપ પૂજા કરી હતી. ત્યારબાદ તરબૂચ, શક્કરટેટી, પપૈયું, દ્રાક્ષ જેવા ફળોનો પાલ તેમજ મોહનથાળ, તીખી લાલ સેવ, ટામેટા, કાકડી, સલાડ, કઢી, દાળ, ભાત, રોટલી, રુધિરનું શાક, મગ અને છાશ સહિત સંપૂર્ણ ભોજનનો પાલ રાખવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આશરે 1800 કિલો વજનના ખાદ્યપદાર્થો મંગાવવામાં આવ્યા હતા. વ્યવસ્થા સ્ટાફ અને કાર્યકર્તાઓ દ્વારા કોઈને પણ તકલીફ ન પડે તે રીતે ગોઠવણ કરવામાં આવી હતી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ બધા હિન્દુઓને એકબીજાની નજીક લાવી, ધાર્મિક સહયોગ વધારવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા 'અમે હિન્દુસ્તાની છીએ, અમે હિન્દુ છીએ' તેવી પવિત્ર ભાવના સ્પષ્ટ કરવામાં આવી હતી, જે રાષ્ટ્ર માટે ધર્મ હિન્દુ રહેશે તેવો સંદેશ આપે છે. આવા આયોજનથી દેશ અને રાષ્ટ્રમાં એકતાની ભાવના મજબૂત બને છે. ટ્રસ્ટી વીરુભાઈ અલગોતરની આ પહેલની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:46 pm

રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા:વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા 5000થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો

વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક રવિશંકરજી એ ગયા અઠવાડિયામાં વાસદ, સુરત અને અમદાવાદની મુલાકાત લીધી, જ્યાં હજારો સાધકો ધ્યાન, જ્ઞાન, સત્સંગ અને સંવાદ માટે ઉમટ્યા. તેમની મુલાકાત દરમિયાન ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ વર્ગોના વરિષ્ઠ સંતો સાથે સ્નેહસભર મુલાકાત કરી, જે આધ્યાત્મિક એકતા અને સાંસ્કૃતિક વારસાની સંયુક્ત ભાવનાને પ્રતિબિંબિત કરતી હતી. વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના આશ્રમમાં ગુરુદેવે સૈંકડો કોલેજ યુવાનો, ગ્રામજનો તેમજ ૫,૦૦૦થી વધુ ભક્તો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં અમેરિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને મેક્સિકોથી આવેલા આંતરરાષ્ટ્રીય સાધકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે ગુરુદેવના ઉપદેશોની વૈશ્વિક અસર દર્શાવે છે. ત્યારબાદ ગુરુદેવ સુરત અને અમદાવાદ પહોંચ્યા, જ્યાં 12000થી વધુ લોકોએ વિશેષ કાર્યક્રમ ‘soaking in bliss’ માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમો ગુરુદેવની ઉપસ્થિતિમાં લોકોએ જ્ઞાન, ગહનતા, હળવાશ અને અમૂલ્ય સ્મૃતિઓનો અનુભવ કર્યો. વાસદ માં એક સત્સંગ દરમિયાન ગુરુદેવે ભગવાન શ્રીકૃષ્ણ નું ઉદાહરણ આપી જવાબદારીને હળવાશથી વહન કરવાની વાત સમજાવી: “ભગવાન કૃષ્ણ સમગ્ર વિશ્વની જવાબદારી વહન કરે છે, છતાં તેમના મસ્તક પરનો રંગબેરંગી મોરપીછનો મુકુટ ક્યારેય ભારરૂપ લાગતો નથી. સમગ્ર વિશ્વની જવાબદારી હોવા છતાં વ્યક્તિ હંમેશાં હસતાં અને હળવાશથી રહી શકે છે. જાણો કે તમારી જવાબદારીઓ તમે એકલા નથી વહન કરતા; કોઈ શક્તિ તમને સહારો આપી રહી છે.” સુરત અને અમદાવાદમાં પણ આનંદ અને ભક્તિના મોજાં ઉછળ્યા. હજારો લોકો હળવાશ, જ્ઞાન, હાસ્ય, સંગીત અને જીવન પરિવર્તનકારી આધ્યાત્મિક માર્ગદર્શનથી ભરપૂર એક સુંદર સાંજનો આનંદ માણવા એકત્ર થયા. જીવનમાં સંતુલનની મહત્વતા પર પ્રકાશ પાડતાં ગુરુદેવે મધ્યમ માર્ગ અપનાવવા અને ધીમા ગતિએ આગળ વધવાની પ્રેરણા આપી: “જીવન દોડ નથી… જ્યારે મનમાં શાંતિ અને ધીરજ હોય, ત્યારે વસ્તુઓ સ્વાભાવિક રીતે પ્રસ્ફૂટિત થાય છે.” તેમણે આશ્ચર્યભાવને આધ્યાત્મિક ગુણ તરીકે વર્ણવતાં કહ્યું કે તે મનને તાજું અને હૃદયને ખુલ્લું રાખે છે. તેમણે વિવિધતાની સુંદરતા પર ભાર મૂકતાં કહ્યું: “વિચાર કરો, કેટલી પ્રકારની શાકભાજી અને ફળો છે, કેટલા પ્રકારના લોકો છે! દરેક વ્યક્તિનો ચહેરો અને નાક અનોખાં છે. ગુજરાતમાં પણ સુરત, અમદાવાદ અને કચ્છના લોકોમાં ભિન્નતા છે. ઈશ્વરે આ રંગબેરંગી વિશ્વ તમારી આનંદ માટે રચ્યું છે, છતાં તમે દુઃખી કેમ રહો છો? જ્યારે તમે જીવનને બાળક જેવી તાજગીથી જુઓ છો, ત્યારે દિવ્યતા તમારા અંદર જીવંત બની જાય છે.”

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:44 pm

માધવપ્રિયદાસજી સ્વામીના અમૃતવર્ષે 'અમૃતવંદના' ગ્રંથનું વિમોચન:SGVP ગુરુકુલ કેમ્પસમાં ભવ્ય સમારોહ, મુખ્યમંત્રી સહિત ધર્માચાર્યો સંતો ,સાહિત્યકારો,ઉદ્યોગપતિઓ ,સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા

અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP કેમ્પસ) ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીના જીવનના અમૃતવર્ષ નિમિત્તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા 'અમૃતવંદના' સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પાવન અવસરે દેશના 108 તેજસ્વી અને લબ્ધપ્રતિષ્ઠિત પ્રતિભાઓની કલમે ઝરેલી ભાવનાઓના અમૃત સમાન 'અમૃતવંદના' ગ્રંથનું લોકાર્પણ થયું. 'અમૃતવંદના' ગ્રંથવિમોચન સમારોહની શરૂઆત આધુનિક ટેકનોલોજી દ્વારા થઈ, જેમાં આકાશમાંથી એકસાથે 25 શ્વેતહંસો 'અમૃતવંદના' ગ્રંથ લઈને નીચે અવતર્યા. ભવ્ય ડ્રોન શોથી રાત્રિના આકાશમાં ૐકાર અને 'અમૃતવંદના'નો લોગો આલેખિત કરવામાં આવ્યો. વેદમંત્રોના ગુંજતા સ્વર, શંખનાદ, બાળકો દ્વારા નૃત્યપ્રસ્તુતિ અને રંગબેરંગી આતશબાજીથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યું. ટેકનોલોજી અને સંસ્કૃતિના સુમેળથી યોજાયેલ આ સમારોહ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો. આ પ્રસંગે પરમ પૂજ્ય જૂના અખાડા પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, કન્વિનર હિન્દુ ધર્મ આચાર્ય સભા, પરમ પૂજ્ય આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ, પરમ પૂજ્ય સદ્ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ સનાતન ધર્મ તથા સંપ્રદાયના પૂજનીય સંતો, સુપ્રસિદ્ધ સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, સમાજશ્રેષ્ઠીઓ અને હજારો દેશ-વિદેશના હરિભક્તોની ઉપસ્થિતિમાં દિવ્ય અને ભવ્ય 'અમૃતવંદના' ગ્રંથવિમોચન સમારોહ ઉજવાયો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ સાત દાયકાથી વધુ સમય નિઃસ્વાર્થ ભાવે સમાજ અને માનવતાના કલ્યાણ માટે અર્પણ કર્યો છે, જેનું પ્રતિબિંબ આ 'અમૃતવંદના' ગ્રંથમાં ઝીલાયું છે. તેમણે ઉમેર્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​આપણી સનાતન સંસ્કૃતિ, ધર્મ અને અમૂલ્ય વિરાસતોના ગૌરવની પરંપરાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરી છે. હિન્દૂ ધર્મ આચાર્ય સભાના અધ્યક્ષ તેમજ પૂજ્ય જૂના અખાડા પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે ભારતના મહાન સંત અનંતવિભૂષિત પરમ શ્રીસદ્ગુરુ સ્વામી માધવપ્રિયદાસજીના 75મા વર્ષ નિમિત્તે આયોજિત 'અમૃત વંદના ગ્રંથવિમોચન સમારોહ' માત્ર એક મહોત્સવ ન રહ્યો, પરંતુ ભારતીય સંત પરંપરા, સંસ્કારયુક્ત શિક્ષણ અને વૈશ્વિક આધ્યાત્મિક ચેતનાનું વિરાટ સંગમ સાબિત થયો. તેમણે કહ્યું કે એક બાજુ સંતપરંપરાની તપશ્ચર્યાનો તેજ અને બીજી બાજુ આધુનિક શિક્ષણજગતની પ્રજ્ઞા — બંનેનો સમન્વય જાણે ભારતીય સંસ્કૃતિના એ સનાતન સંદેશનું જીવંત પ્રતિબિંબ હતો કે જેમાં આધ્યાત્મ અને જ્ઞાન પરસ્પર વિરોધી નહીં, પરંતુ પરસ્પર પૂરક છે. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ સંતજીવનનો મહિમા, સેવા-સાધના અને સંસ્કારયુક્ત શિક્ષણના મહત્વને અતિ પ્રભાવપૂર્ણ રીતે રજૂ કર્યું। તેમની ઓજસ્વી વાણીએ ઉપસ્થિત જનસમુદાયના અંતરંગને સ્પર્શી લીધું અને સમગ્ર સભાસ્થળ આધ્યાત્મિક ઉર્જાથી પ્રભાસિત થઈ ઉઠ્યું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:41 pm

ધંધામાં નુકશાની જતા યુવાનનો ઝેરી દવા પી આપઘાત:જામનગર રોડ ઉપર રહેતા યુવાને બે દિવસ પહેલા SRP કેમ્પ પાસે ઝેરી દવા પીધી હતી, ચાર મહિના પહેલા જ લગ્ન થયા'તા

રાજકોટ જામનગર રોડ પર રત્નપાઇ સિટીમાં રહેતા યશ ઉપેન્દ્રભાઇ કણસાગરા (ઉ.વ.26)નામના યુવાને ગત તા.28 ફેબ્રુઆરીના સાંજે 5 વાગ્યા આસપાસ SRP કેમ્પ પાસે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા આજે બપોરના સમયે તેનું મોત નીપજ્યુ હતું. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યશ બે ભાઇમાં મોટો અને મુળ લાલપરનો વતની હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં રહેતો હતો અને છેલ્લા દોઢ વર્ષથી ઇમ્પોર્ટેડ વસ્તુનો ધંધો ચાલુ કર્યો હતો પરંતુ ધંધામાં નુકશાની આવતા આર્થિક ભીંસના કારણે આ પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતક યશના ચાર મહિના પૂર્વે જ લગ્ન થયા હતા હાલ યુવકના આકસ્મિક મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. કુવાડવામાં વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત રાજકોટ નજીક કુવાડવા GIDCમાં એપલ બેસન ફેક્ટરી પાછળ રહેતાં દિલુભા નારૂભા જાડેજા (ઉ.વ.69)ને ઝેરી અસર થતા ગઈકાલે સાંજે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમની પુછપરછ કરતા તેમણે ઘઉંમાં રાખવાની વધુ દવા પી લીધાનું જાણવા મળ્યું હતું જેથી તેમને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી જોકે સારવાર કારગત નીવડે એ પહેલા જ મોડી રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે જાણ કુવાડવા પોલીસને કરવામાં આવી હતી. કુવાડવા પોલીસ મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસન પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર દિલુભા નિવૃત જીવન જીવતાં હતાં તેમને સંતાનમાં એક દિકરો છે. ગઈકાલે બહારથી ઝેરી ટીકડી પીને ઘરે આવ્યા હતાં અને બાદમાં તેમને ઉલ્ટીઓ થવા લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે આપઘાત અંગે કારણ જાણવા ન મળતા પોલીસ ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. વેલનાથપરામાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત રાજકોટ શહેરમાં ખોખડદળ નજીક વેલનાથપરા શેરી નંબર 3માં રહેતા સતીષ બાબુભાઇ મકવાણા (ઉ.વ.22)એ પોતાના ઘરે રૂમમાં લોખંડના એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પિતા તેને રૂમમાં બોલાવવા જતા તેને લટકતી હાલતમાં જોતા દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને 108ને જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકે કરેલા આપઘાત અંગે કારણ જાણવા ન મળતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:39 pm

હેલ્પ્સ ફાઉન્ડેશને હોળી પર બાળકોને ધાણી-ગુલાલ આપ્યા:પિચકારીનું વિતરણ કરી તહેવારની ખુશી અને સામાજિક જવાબદારી નિભાવી

હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા શાળાના બાળકોને ધાણી, ગુલાલ અને પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી નહોતી, પરંતુ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઘણા જરૂરિયાતમંદ પરિવારોના બાળકો માટે તહેવારોની ઉજવણી ઘણીવાર મુશ્કેલ હોય છે. આવા સમયે, સંસ્થા દ્વારા અપાયેલી આ નાની ભેટ બાળકોના ચહેરા પર અમૂલ્ય ખુશી લાવી હતી. ધાણી અને ગુલાલ સમાનતા અને ભાઈચારાનું પ્રતીક છે, જ્યારે પિચકારી બાળપણની મસ્તી અને નિર્દોષ આનંદ દર્શાવે છે. આ વિતરણથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેમને સમાજમાં સમાન સ્થાન મળ્યાનો અનુભવ થાય છે. આ પ્રકારની સેવા પ્રવૃત્તિ સમાજમાં સહાનુભૂતિ અને પરોપકારની ભાવનાને મજબૂત બનાવે છે. તે બાળકોમાં વહેંચણી, પ્રેમ અને સાથે મળીને ઉજવણી કરવાની સંસ્કૃતિ વિકસાવે છે. શાળામાં સામૂહિક રીતે હોળીની ઉજવણી કરવાથી એકતા અને મિત્રતા વધે છે, તેમજ તહેવારનું સાચું મહત્વ સમજાય છે. હેલ્પ્સ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા આયોજિત આવી પહેલ સમાજને સકારાત્મક દિશામાં આગળ વધારતી પ્રેરણાદાયક કામગીરી છે. તહેવારોની ઉજવણી સાથે સેવા અને સંસ્કારનું સંકલન થવાથી સમાજ વધુ સંવેદનશીલ અને સશક્ત બને છે. આ વિતરણ કાર્યક્રમ દ્વારા માત્ર રંગો જ નહીં, પરંતુ ખુશીઓ અને આશાનું પણ વિતરણ થયું, જે સાચા અર્થમાં હોળીની ઉજવણી ગણાય.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:38 pm

નરોડા કોલેજે માઉન્ટ આબુમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજ્યો:બહુવિષયક સંશોધન અને NEP 2020 પર ત્રણ દિવસીય ચર્ચા

શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કૉમર્સ કૉલેજ, નરોડાના ઈન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ (IQAC) દ્વારા માઉન્ટ આબુ ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2026 દરમિયાન હોટેલ હિલટોન, માઉન્ટ આબુ, રાજસ્થાન ખાતે યોજાયો હતો. તેનો મુખ્ય વિષય બહુવિષયક સંશોધન, નવીનતા, પડકારો અને NEP 2020 સંબંધિત આધુનિક આંતરરાષ્ટ્રીય તાલીમમાં ભવિષ્યના માર્ગદર્શનો હતો. ઉદ્ઘાટન સમારોહમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નિરંજન પી. પટેલ અને ડૉ. મુકેશભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ પટેલ અને કેમ્પસ ડિરેક્ટર ડૉ. રમેશ ચૌધરી પણ હાજર રહ્યા હતા. આ સેમિનારનું સફળ આયોજન પ્રિન્સિપાલ ડૉ. મુકેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ, IQAC કોઓર્ડિનેટર ડૉ. મંજુલા વિરડિયા અને IQAC સહ-કોઓર્ડિનેટર પ્રો. ધીરેન સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ચાર ટેકનિકલ સેશનમાં 84 પેપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. સેમિનાર દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા 100 પ્રતિભાગીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રજૂ કરાયેલા શોધપત્રો 'શોધસંચય ISSN ઓનલાઈન મેગેઝિન'માં પ્લેગ્યારિઝમ અને પેનલ રિવ્યૂ બાદ પ્રકાશિત કરવામાં આવશે. કોલેજના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના સહયોગથી આ સેમિનાર સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:36 pm

મોરબીના 43 લોકો દુબઈમાં ફસાયા:ઇઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે એરપોર્ટ બંધ થતા મુશ્કેલી; તમામ લોકો સુરક્ષિત અને પરિવાર સાથે સંપર્કમાં

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર હવે મોરબીના પ્રવાસીઓ પર જોવા મળી રહી છે. દુબઈ અને અબુધાબી પર થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાને કારણે દુબઈ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં મોરબીના 43 જેટલા લોકો ત્યાં ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે તમામ લોકો હાલ સુરક્ષિત છે અને પરિવાર સાથે સંપર્કમાં છે. દુબઈ એરપોર્ટ પર મિસાઈલ હુમલાની અસર શનિવારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાના જવાબમાં ઈરાને UAE સ્થિત યુએસ મથકોને નિશાન બનાવ્યા હતા. આ સંઘર્ષ દરમિયાન દુબઈના રહેણાંક વિસ્તારોની આસપાસ પણ બોમ્બ પડતા સુરક્ષાના કારણોસર એરપોર્ટની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. જેના કારણે વ્યવસાય અને પ્રવાસ અર્થે ગયેલા મોરબીના લોકો નિર્ધારિત સમયે ભારત પરત ફરી શક્યા નથી. મોરબીના વેપારી અને ઉદ્યોગકારોની સુરક્ષા મોરબીના તરુણભાઈ લિખિયા વ્યવસાયિક કામ માટે 27 જાન્યુઆરીના રોજ દુબઈ ગયા હતા અને રવિવારે પરત ફરવાના હતા, પરંતુ હાલ તેઓ ત્યાં રોકાઈ ગયા છે. આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગકારો પણ ત્યાં અટવાયા છે. અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જીજ્ઞેશભાઈ અઘારાના જણાવ્યા અનુસાર, કુલ 45 લોકોમાંથી 2 ઉદ્યોગકારો રોડ માર્ગે ઓમાન પહોંચી ત્યાંથી બેંગ્લોર પરત ફર્યા છે, જ્યારે બાકીના 43 લોકો હજુ પણ દુબઈમાં જ છે. પરિવારજનોમાં રાહત: સંપર્ક સતત ચાલુ દુબઈ સરકાર દ્વારા ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવા-જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબીમાં રહેતા પરિવારજનો વોટ્સએપ કોલ અને ફોન દ્વારા ત્યાં ફસાયેલા સભ્યો સાથે સતત વાતચીત કરી રહ્યા છે. જે લોકો ત્યાં છે તેઓ સલામત સ્થળે હોવાથી પરિવારોએ હાલ રાહતનો શ્વાસ લીધો છે અને તેમને વહેલી તકે માતૃભૂમિ પરત લાવવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:35 pm

પત્ની દુબઈમાં અને પતિ ભારત આવ્યા બાદ મળતો નથી:ફેમિલી કોર્ટે પત્નીની છૂટાછેડાની અરજી નકારી હતી, હાઇકોર્ટે પત્નીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ ક્રૂરતા પુરવાર કરવા તક આપી

અમદાવાદના બોપલમાં રહેતી અને હાલ દુબઈમાં નોકરી કરતી એક મહિલાએ પોતાની માતાને પાવર ઓફ એટર્ની આપીને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. જેને ફેમિલી કોર્ટે ફગાવતા નોંધ્યું હતું કે, અરજદાર જ્યારે કોર્ટ સમક્ષ હાજર નથી અને પાવર ઓફ એટર્ની દ્વારા પતિ સામેની ક્રૂરતા પત્ની પુરવાર કરી શકે નહીં. જેથી પત્નીએ ફેમિલી કોર્ટના હુકમ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. બંને પતિ-પત્ની દુબઈમાં સાથે રહેતા હતાઅરજદારના જણાવ્યા મુજબ તેના લગ્ન 18 ઓગસ્ટ, 2017ના રોજ થયા હતા. તેમના લગ્નજીવનમાં મતભેદ સર્જાયા હતા. જો કે પત્ની હાલ પોતાની નોકરી છોડવા તૈયાર નથી. અરજદારનો પતિ વર્ષ 2015થી દુબઈમાં રહીને નોકરી કરતો હતો. અરજદારને હતું કે પતિ ત્યાં જ રહેશે તેમ જાણીને તેને દુબઈમાં નોકરી માટે અરજી કરી હતી. તેને નોકરી મળતા તે દુબઈ રહેવા ગઈ હતી. બંને પતિ-પત્ની દુબઈમાં સાથે રહેતા હતા. પતિ અયોગ્ય માગણીઓ કરતો હતોત્યારબાદ તે બંને વચ્ચે મતભેદો સર્જાવા લાગ્યા હતા. પત્નીએ કહ્યું હતું કે પતિ અયોગ્ય માગણીઓ કરતો હતો. તેણે નોકરી છોડી દીધી હતી અને વૈભવી જીવન જીવતો હતો. પત્નીના દુબઈ પહોંચ્યાના કેટલાક સમય બાદ પતિ ભારત પરત ફર્યો હતો. પરંતુ એપ્રિલ, 2021થી પત્નીના સંપર્કમાં નથી. જે સંદર્ભે અરજદારના સાસુ-સસરાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. મહિલાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરીપત્ની વર્ષ 2022માં અમદાવાદની ફેમિલી કોર્ટમાં પોતાની માતાને પાવર ઓફ એટર્ની આપીને છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. ફેમિલી કોર્ટની નોટિસ છત્તા પતિ કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહ્યો ન હતો. પતિને શોધવા વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી. તે શરૂઆતમાં રાજકોટમાં રહેતો હતો, પરંતુ તે મળી આવ્યો ન હતો. મહિલાને કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવાની શરતે તકગુજરાત હાઇકોર્ટે સંજોગોને જોતા ફેમિલી કોર્ટના હુકમને રદ કર્યો હતો. તેમજ આ ફેમિલી કેસને ફરીથી ચલાવવા ફેમિલી કોર્ટને આદેશ કર્યો હતો. તેમ જ પત્નીને ફેમિલી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવાની શરતે વધુ એક તક આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:31 pm

પંચમહાલ પોલીસે 8 મહિનાથી ફરાર ઘરફોડ ચોરને પકડ્યો:પેરોલ ફ્લો સ્ક્વોડને સફળતા, ભરૂચના ગુનામાં આરોપી ઝડપાયો

પંચમહાલ પોલીસે આઠ મહિનાથી ફરાર ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લાના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આ આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોડે પકડી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ મુનાવર ખાલીદ મામજી છે, જે ગોધરાના ધંત્યા પ્લોટ, સિઝલ ફળિયાનો રહેવાસી છે. તેની સામે ભરૂચ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (ગુના નં. 0439/2025) BNS કલમ 331(4) અને 305(એ) હેઠળ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ કાર્યવાહી પંચમહાલ રેન્જ I/C IGP સંદીપસિંહ અને SP ડો. હરેશભાઈ દૂધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જયરામસિંહને ખાનગી બાતમી મળી હતી કે આરોપી મુનાવર મામજી ગોધરાના હમીરપુર રોડ પર ઈબાદતગાહ પાસે છુપાયેલો છે. આ બાતમીના આધારે સ્ક્વોડે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલમાં પંચમહાલ પોલીસે આરોપીની અટકાયત કરી છે. તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ બી-ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:29 pm

સંતાનના સ્વાસ્થ્ય માટે માતાઓની 1.5 KMની દોડ:પાટણના બ્રાહ્મણવાડામાં 800 વર્ષ જૂની પરંપરામાં મમતાનો વિજય

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700 થી 800 વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ અકબંધ છે. આ ગામમાં પ્રથમ પુત્રની માતાઓ પોતાના સંતાનના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે 'ઝેમ દોડ' લગાવે છે. આ વર્ષે 15 જેટલી માતાઓએ આ પરંપરા નિભાવી હતી, જેમાં એક પાલક માતાની મમતાએ સૌના દિલ જીતી લીધા હતા. આ વર્ષની દોડમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો જોવા મળ્યો હતો. 'ઝેમવાળા' (પ્રથમ પુત્ર) બાળકની માતા વર્ષાબેન ચિરાગભાઈનું એક માસ અગાઉ કુદરતી અવસાન થયું હતું. માતાની છત્રછાયા ગુમાવનાર બાળકના સ્વાસ્થ્યની માનતા પૂરી કરવા અને ગામની પરંપરા જાળવવા માટે બાળકના મોટા બા (પાલક માતા) એ મેદાનમાં ઉતરીને દોડ લગાવી હતી. તેમની આ શ્રદ્ધા જોઈ ગ્રામજનો પણ ભાવવિભોર થયા હતા. બપોરના સમયે યોજાતી આ દોડ ગામના ગોગા મહારાજ મંદિરથી શરૂ થઈને કુળદેવી વેરાઈ માતાના મંદિર સુધી આશરે 1.5 કિલોમીટરના અંતર સુધી ચાલે છે. દોડ શરૂ કરતા પહેલા પૂજારી દ્વારા મહિલાઓને શ્રીફળ, સાંકર અને ત્રિશૂળ અર્પણ કરી આશીર્વાદ આપવામાં આવે છે. એવી શ્રદ્ધા છે કે જે માતા આ દોડમાં પ્રથમ આવે છે, તેનો પુત્ર આજીવન તંદુરસ્ત રહે છે. આ વર્ષે ચૌધરી ડિમ્પલ આ દોડમાં પ્રથમ ક્રમે રહ્યા હતા. આ પરંપરા માટે ફાગણ સુદ બીજના દિવસે મુહૂર્ત જોવામાં આવે છે. ઉત્સવ નિમિત્તે 45 કિલો શુદ્ધ ઘીની સુખડી બનાવી ગામના આશરે 400 ઘરોમાં વહેંચવામાં આવે છે. દોડ પૂર્ણ થયા બાદ સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે, જ્યાં બાળકના કાકા બાળકને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:21 pm

મોરબીના શિક્ષકને એવોર્ડથી સન્માનિત કરાયા:MORBI NUMISMATIC CLUB દ્વારા COMMUNITY CONTRIBUTION AWARD અપાયો

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજય દલસાણીયાને 'COMMUNITY CONTRIBUTION AWARD'થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ MORBI NUMISMATIC CLUB દ્વારા 02 માર્ચના રોજ વિદ્યાર્થીઓ સમક્ષ અર્પણ કરાયો હતો. વિજયભાઈ દલસાણીયાએ વિવિધ ક્ષેત્રોમાં કરેલી પ્રશંસનીય કામગીરીને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ એવોર્ડ સંસ્થાના ચેરમેન અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ મિતેશભાઈ દવે, વાઈસ પ્રેસિડેન્ટ દર્શનભાઈ દવે અને લેખક પરમ જોલપરા દ્વારા અપાયો હતો. મિતેશભાઈ દવે કલા ધરોહર સંયોજક-સંસ્કારભારતી પણ છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં છ વખત સ્થાન મેળવી ચૂક્યા છે. મિતેશભાઈ દવેની ઈચ્છા હતી કે આ સન્માન બાળકો સમક્ષ આપવામાં આવે. સન્માન સાથે તેમને દસ રૂપિયાની એક નોટ ભેટમાં આપવામાં આવી હતી, જેના નંબર વિજયભાઈની જન્મતારીખ મુજબના હતા. વિજયભાઈએ જણાવ્યું કે આ નોટની ભેટ તેમને હંમેશા યાદ રહેશે. તેમણે MORBI NUMISMATIC CLUB, મિતેશભાઈ, દર્શનભાઈ, પરમભાઈ, શાળાના આચાર્ય ભક્તિબેન અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:11 pm

જલાલપોર ભાજપ: 33 હોદ્દેદારોના રાજીનામાં સ્વીકારાયા:પક્ષે કહ્યું, 'સંગઠનથી ઉપર કોઈ નથી'; બળવો શાંત કરવા કાર્યવાહી

નવસારી જિલ્લાના જલાલપોર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષનો આખરે અંત આવ્યો છે. સંગઠનમાં મહામંત્રી પદની માંગણી સંતોષાઈ ન હોવાથી નારાજ થયેલા 33 હોદ્દેદારોના રાજીનામા જિલ્લા ભાજપ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પક્ષમાં શિસ્તભંગ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, ભાજપમાં વ્યક્તિગત જીદ કરતાં પક્ષનું હિત હંમેશા સર્વોપરી રહેશે. તેમણે ઉમેર્યું કે પક્ષને બાનમાં લેવાનો પ્રયાસ સફળ થશે નહીં અને સંગઠનથી ઉપર કોઈ વ્યક્તિ નથી. પ્રદેશ સંગઠનની સૂચના બાદ જ આ તમામ 33 હોદ્દેદારોના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર વિવાદની શરૂઆત તાજેતરમાં થયેલી સંગઠનની નવી નિયુક્તિઓથી થઈ હતી. જલાલપોર વિસ્તારને મહામંત્રીનું પદ ન મળતા સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય આર.સી. પટેલ અને જિલ્લા સંગઠન વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ ગજગ્રાહ સંગઠનની રચના વખતે જાહેરમાં આવ્યો હતો, જેમાં ધારાસભ્યના સમર્થકો ગણાતા હોદ્દેદારોએ સાગમટે રાજીનામા ધરી દીધા હતા. પ્રાથમિક તબક્કે જલાલપોર વિધાનસભા ક્ષેત્રના કુલ 58 કાર્યકરોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપ્યા હતા. જોકે, પક્ષ દ્વારા કરવામાં આવેલી સમજાવટ બાદ 25 કાર્યકરોએ પક્ષ પ્રત્યે વફાદારી દર્શાવીને પોતાના રાજીનામા પરત ખેંચી લીધા હતા. બાકી બચેલા 33 હોદ્દેદારો સામે પક્ષે કડક કાર્યવાહી કરી તેમને પદમુક્ત કર્યા છે. હવે આગળ શું? રાજીનામા સ્વીકારાયા બાદ હવે જલાલપોર ભાજપ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ટૂંક સમયમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે. પક્ષે એવા સંકેત આપ્યા છે કે નવી ટીમ સંપૂર્ણપણે પ્રદેશના સીધા સંકલન હેઠળ બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી બળવાની સ્થિતિ ફરી ઊભી ન થાય. જોકે, રાજીનામું આપનાર કાર્યકરોએ પક્ષમાં રહેવાની ખાતરી આપી છે, પરંતુ હોદ્દા ગુમાવ્યા બાદ તેમની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:08 pm

એક સમયનો નેશનલ વેઈટલિફ્ટિંગ એથ્લેટ આજે સાયબર ઠગ બન્યો:વોટ્સએપ પર 'RTO Chalan' નામની APK મોકલી રત્નકલાકારના 70 હજાર પડાવ્યા, ફરાર આરોપી જૂનાગઢથી પકડાયો

ટેક્નોલોજીના યુગમાં સાયબર ગઠિયાઓ લૂંટ માટે દરરોજ નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે. હાલ સુરત સાયબર ક્રાઈમ સેલે એક એવા શખ્સની ધરપકડ કરી છે જેની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પકડાયેલ આરોપી બોદુભાઈ પલેજા માત્ર 16 વર્ષની ઉંમરે નેશનલ લેવલના વેઈટલિફ્ટિંગ એથ્લેટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. રમતગમતમાં દેશનું નામ રોશન કરનાર આ યુવાન હાલમાં આરોગ્ય વિભાગમાં છેલ્લા 13 વર્ષથી ટી.બી. સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ (M.A., M.S.W.) જેટલું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. જોકે, આટલી પ્રતિષ્ઠિત પૃષ્ઠભૂમિ હોવા છતાં તે સાયબર ફ્રોડના કાળા કારોબારમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. વોટ્સએપ પર APK ફાઇલ મોકલી રત્નકલાકારનું એકાઉન્ટ સાફ કર્યું. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, સુરતના એક રત્નકલાકારને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં 'RTO Chalan' લખેલી એક APK ફાઇલ હતી. રત્નકલાકારને લાગ્યું કે કદાચ તેમનું ટ્રાફિક ચલણ ફાટ્યું હશે, જેથી તેમણે જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી કે તરત જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. આરોપીઓએ રત્નકલાકારની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 70,379 ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ ભોગ બનનારે 1930 હેલ્પલાઇન અને ત્યારબાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. નેશનલ એથ્લેટથી સાયબર ગુનેગાર સુધીની સફર પકડાયેલ આરોપી બોદુભાઈ મામદભાઇ પલેજાની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જૂનાગઢના મજેવડી દરવાજા વિસ્તારમાં રહેતો બોદુભાઈ શારીરિક રીતે સક્ષમ હોવાની સાથે માનસિક રીતે પણ તેજ હતો. 16 વર્ષની વયે વેઈટલિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચમક્યા બાદ તેણે અભ્યાસ પૂર્ણ કર્યો અને સરકારી તંત્રમાં આરોગ્ય વિભાગમાં નોકરી મેળવી. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાખોરીના માર્ગે ધકેલી દીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે છેલ્લા ઘણા સમયથી સાયબર ગેંગ સાથે સંપર્કમાં હતો. પાર્ટ ટાઇમ જોબની આડમાં ક્રેડિટ કાર્ડના બિલ સેટલમેન્ટનું કૌભાંડ ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આરોપી બોદુભાઈ ઇષ્ટમુદ્રા નામની કંપનીમાં પાર્ટ-ટાઇમ કામ કરતો હતો. તેનું મુખ્ય કામ ક્રેડિટ કાર્ડ નંબર એન્ટ્રી કરવાનું અને બિલ પેમેન્ટ કરવાનું હતું. તેની પાસે પોતાના બે ક્રેડિટ કાર્ડ હતા (Bank of Baroda અને ICICI). તેણે ફરાર આરોપીઓ સાથે મળીને ફ્રોડના પૈસાનો ઉપયોગ પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ભરવા માટે કર્યો હતો. તેણે આશરે 1.80 લાખ રૂપિયાના બિલ આ રીતે સેટલ કર્યા હતા. જે રકમ રત્નકલાકારના ખાતામાંથી ચોરી થઈ હતી, તેનો ઉપયોગ આ બિલ પેમેન્ટમાં ડિજિટલ મની તરીકે કરવામાં આવ્યો હતો. મોબાઇલ હેકિંગ માટે APK ફાઇલનો હથિયાર તરીકે ઉપયોગ આ સાયબર ફ્રોડની પદ્ધતિ ખૂબ જ ખતરનાક છે. આરોપીઓ 'RTO ચલણ' કે 'પીએમ આવાસ યોજના' જેવા લોકપ્રિય નામ આપીને APK ફાઇલ મોકલે છે. આ ફાઇલ વાસ્તવમાં એક મૉલવેર હોય છે. જેવી વ્યક્તિ તેને ઇન્સ્ટોલ કરે, એટલે ફોનનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સ પાસે જતો રહે છે. તેઓ તમારા SMS વાંચી શકે છે, જેના કારણે બેંક ટ્રાન્ઝેક્શન માટે આવતો OTP સીધો હેકર્સને મળી જાય છે અને ગ્રાહકને ખબર પણ પડતી નથી કે તેના ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે. પોલીસે જૂનાગઢથી દબોચ્યો: 4 દિવસના રિમાન્ડ મંજૂર સુરત સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને મ્યુલ એકાઉન્ટ્સની તપાસના આધારે આરોપીનું લોકેશન જૂનાગઢ ટ્રેસ કર્યું હતું. તાત્કાલિક એક ટીમ મોકલીને બોદુભાઈને ઝડપી લેવામાં આવ્યો છે. નામદાર કોર્ટે આરોપીના 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસને આશંકા છે કે આ કેસમાં હજુ મોટા માથાઓ સામેલ હોઈ શકે છે. આ આરોપી પહેલીવાર પકડાયો હોવાથી તેની પાસેથી અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની રિકવરી પણ કરવામાં આવશે. સાયબર સેલની જનતાને અપીલ: સાવચેત રહો ડીસીપી બિશાખા જૈને નાગરિકોને સાવધ કરતા જણાવ્યું છે કે, ટેલિગ્રામ કે વોટ્સએપ પર આવતી કોઈ પણ અજાણી લિંક કે APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કરવી નહીં. APK ફાઇલ હંમેશા જોખમી હોય છે. કોઈ પણ એપ્લિકેશન માત્ર ઓફિશિયલ 'Google Play Store' પરથી જ ડાઉનલોડ કરવી. જો તમારા કોઈ મિત્ર કે સંબંધીના નંબરથી આવી ફાઇલ આવે, તો પહેલા તેમને ફોન કરીને ખાતરી કરો, કારણ કે શક્ય છે કે તેમનો ફોન પણ હેક થયો હોય. જો તમારી સાથે છેતરપિંડી થાય તો વિલંબ કર્યા વગર 1930 નંબર પર કોલ કરવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:07 pm

કોડીનાર પોલીસે ₹5.51 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:હોળી પૂર્વે 4 રેડમાં 6 બુટલેગર પકડાયા

ગીર સોમનાથ જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવારો પૂર્વે પ્રોહિબિશન મુદ્દે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોડીનાર પોલીસે ચાર અલગ-અલગ દરોડા પાડી ₹5.51 લાખનો વિદેશી દારૂ અને વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં 6 બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યા છે. કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વનારકા, પી.એસ.આઈ જી.એન. કાછડ અને સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા મળેલી બાતમીના આધારે કોડીનાર-ઉના હાઇવે પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. પીપળવા ગામના પાટિયા પાસે મારૂતિ સુઝુકી બલેનો ફોરવ્હીલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા સુત્રાપાડાના જયેશ મહેન્દ્રભાઈ બારડને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી વિદેશી દારૂ, મોબાઈલ અને ફોરવ્હીલ સહિત કુલ ₹4,07,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. માલગામ નવા પુલ પાસેથી દીવના વણાંકબારા ગામના પ્રભાત દેવજી સોલંકી અને ધવલ લાલજી સોલંકીને હિરો મેસ્ટ્રો મોટરસાયકલ પર વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી કુલ ₹77,200નો મુદ્દામાલ મળ્યો હતો. પૂછપરછમાં આ દારૂ વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા અંકિત હીરા ડાલકીએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત, વેરાવળ બાયપાસ પાસે હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર દારૂની હેરાફેરી કરતા ચોરવાડ ગામના રોહિત ભાયા વાજા અને અભય દિનેશ સેવરાને ₹26,600ના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા હતા. રોણાજ ચોકડી પાસેથી જ્યુપિટર મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા પ્રભાસ પાટણના રાજ મગનભાઈ ચૌહાણને ₹40,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:04 pm

લૂંટના ઇરાદે યુવાનની હત્યાના મામલે રજુઆત:બાબર સમાજમાં દ્વારા કલેક્ટર અને SP કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી નિર્મમ હત્યાના વિરોધમાં આજે બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી (SP) કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, ​મૃતક રાજુભાઈ ગટાધરાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી, આ મામલે મૃતકના માતા દ્વારા પાંચ શંકાસ્પદ વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા હોવા છતાં, પોલીસ દ્વારા અત્યાર સુધી માત્ર બે જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બાકીના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ​આવેદનપત્ર જણાવ્યું હતું કે તેમની મુખ્ય માંગણીઓમાં માતાએ જણાવેલા પાંચેય નામધારી આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવે, ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, તેમજ આરોપીઓ વિરુદ્ધ એવો દાખલો બેસાડવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું દુષ્ટ કૃત્ય કરતા અટકે. ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ જ્યારે કોઈ નાનો સમાજ હોય, ત્યારે સરકાર તેની પડખે ઊભી રહે તે અત્યંત જરૂરી છે જેનું કોઈ નથી એનો ભગવાન છે, પણ સાથે સરકાર પણ છે તેવું આ કિસ્સામાં સાબિત થવું જોઈએ, જો વહેલી તકે ન્યાયિક પ્રક્રિયા તેજ કરવામાં નહીં આવે અને બાકીના આરોપીઓને પકડવામાં નહીં આવે, તો આગામી સમયમાં ન્યાય માટેના વધુ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:00 pm

આજે પણ દીકરીના લગ્ન કરાવવા ઉત્સુક: યશવી ફાઉન્ડેશન:અમારો હેતુ મદદ અને સેવાનો, નહીં કે TRP મેળવવાનો; સુરતમાં હિન્દુ યુવક-મુસ્લિમ યુવતી લગ્ન વિવાદ વધુ વકર્યો

સુરતમાં હિન્દુ યુવક-મુસ્લિમ યુવતી લગ્ન વિવાદ વધુ વકર્યો છે. મુસ્લિમ યુવતીએ સમૂહ લગ્ન કરાવનાર સંસ્થા યશવી ફાઉન્ડેશન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. યુવતીના TRPવાળા આક્ષેપને વખોડતા યશવી ફાઉન્ડેશન કહ્યું હતું કે અમારો મુખ્ય હેતુ મદદ અને સેવાનો છે, નહીં કે TRP મેળવવાનો. જો કાયદાનું પાલન કરવામાં આવે અને પરિવારની લેખિત સંમતિ લેવામાં આવે, તો આજે પણ અમે એ દીકરીના લગ્ન કરાવવા માટે એટલા જ ઉત્સુક અને તૈયાર છીએ. ‘જરૂરિયાતમંદ દીકરીઓને માનભેર લગ્ન કરી વિદાય કરવાનો હેતુ’સત્યેન આર. નાઈક (C.E.O - યશવી ફાઉન્ડેશન) એ જણાવ્યું હતું કે, યશવી સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન એ અમારું સતત ત્રીજું વર્ષ છે. સેવાનો જે અમારો અભિગમ છે કે જરૂરિયાતમંદ અને પિતાવિહોણી દીકરીઓને અમે માનભેર લગ્ન થકી વિદાય કરી શકીએ અને ‘યશવી’ કે જેના નામથી આ ફાઉન્ડેશનની શરૂઆત થઈ જે આજે અમારી વચ્ચે નથી, ક્યાંક એનું ઋણ ચૂકવી શકીએ. ‘સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન એ પોતે જ એક પબ્લિક ઇવેન્ટ છે’આજે ફાઉન્ડેશન પર જે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે, એના વિશે હું આપ સૌને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન એ પોતે જ એક પબ્લિક ઇવેન્ટ છે. તેના દરેક પ્રસંગમાં મીડિયાને ઇન્વાઇટ કરવાનો અમારો હેતુ ફક્ત એટલો જ હોય છે કે સેવાની આ સુગંધ બીજા લોકો સુધી પણ પહોંચે અને અમને આવનારા વર્ષોમાં એવા લોકોનો સંપર્ક થઈ શકે જેમને ખરેખર જરૂર છે. ‘અમે આ વિષયમાં સંવેદનશીલ છીએ’યશવી ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ કોઈની પાસેથી ડોનેશન લેવાનો નથી. પહેલેથી જ આ ફાઉન્ડેશન પોતે જ પોતાના ફંડિંગ થકી કામ કરતું આવ્યું છે. અમારો મુખ્ય અભિગમ જરૂરિયાતમંદ લોકોને સહાય કરવાનો છે. આજે જે દીકરીનો વિવાદ ઉભો થયો છે, તેની સાથે કશુંક ખોટું થયું છે તે બદલ સંસ્થા તરીકે અમને પણ દુઃખ છે. પણ મારું તેમને, સુરતને અને મીડિયાને એટલું જ કહેવું છે કે અમે આ વિષયમાં સંવેદનશીલ છીએ. ‘પરિવારની સંમતિ સાથેના સહી કરેલા ફોર્મ અમે પહેલા લીધા છે’પાનેતરનો જે પ્રસંગ ઉજવાયો, તેમાં ફક્ત એ દીકરી જ નહીં પણ બીજી ઘણી દીકરીઓના ઇન્ટરવ્યુ લેવાયા. અમારું સ્ટેજ જ 'પ્રેસ કોન્ફરન્સ અને પાનેતર વિતરણ'ના હેડિંગ સાથે ત્યાં મૂકવામાં આવ્યું હતું. જેટલી પણ દીકરીઓ આ લગ્નમાં જોડાય છે, તેમના પરિવારની સંમતિ સાથેના સહી કરેલા ફોર્મ અમે પહેલા લીધા છે અને પછી જ મદદ કરવા આગળ વધ્યા છીએ. ‘પરિવારની સંમતિ ન હોય તેવા લગ્નને સંસ્થા સપોર્ટ ન કરે’અંગત કારણોસર કે કોઈ બીજા દબાણ હેઠળ આ પરિવારને જે પણ તકલીફ પડી, તેના થકી તેઓ અમને મળવા આવ્યા અને કહ્યું કે હવે તેમના પરિવાર તરફથી સંમતિ નથી. તો સંસ્થા તરીકે, કાયદાનું પાલન કરતા અને દરેક ધર્મનું સન્માન કરતા અમે એવા નિર્ણય પર આવ્યા કે જ્યાં પરિવારની સંમતિ ન હોય તેવા લગ્નને સંસ્થા તરીકે અમે સપોર્ટ ન કરી શકીએ. ‘જવાબદાર સંસ્થા તરીકે અમે આ નિર્ણય લીધો’આ સુંદર પ્રસંગમાં જ્યાં ભાવનાઓ અને લોકોના આંસુઓ જોડાયા છે, ત્યાં કોઈનું નામ છુપાવવું એ અમારી નિયત નથી અને એ શક્ય પણ નથી. યશવી ફાઉન્ડેશન એક જવાબદાર સંસ્થા છે અને જવાબદાર સંસ્થા તરીકે અમે આ નિર્ણય લીધો છે. આ પણ વાંચો: 'અમારી જિંદગી બરબાદ કરવા માટે યશવી ફાઉન્ડેશનનો આભાર', ફરહાએ કહ્યું- TRP મેળવવા સંસ્થાએ અમારો ઉપયોગ કર્યો સમાજના વિરોધ બાદ પરિવારની અસંમતિને કારણે યશવી ટ્રસ્ટે પીછેહઠ કરી, યુવક-યુવતી લગ્ન માટે મક્કમ સુરત શહેરમાં આગામી 14 માર્ચે આયોજિત એક ભવ્ય સમૂહલગ્ન સમારોહ વિવાદોના ઘેરામાં આવ્યો છે. 'યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકનાં લગ્ન હિન્દુ વિધિથી કરાવવાની જાહેરાત થતાં જ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિવાદ વધતાં અને કાયદાકીય ગૂંચવણો ઊભી થતાં આખરે ફાઉન્ડેશન દ્વારા આ લગ્ન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:58 pm

આકાશમાંથી કાટમાળ પડતા ફફડાટ:પરિવાર સાથે બહુચરાજી APMCના પૂર્વ ચેરમેન તથા વેપારીઓ દુબઈમાં અટવાયા, પરિવારના જીવ અદ્ધર

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ગલ્ફ દેશોમાં સ્થિતિ વણસી છે. જેની સીધી અસર હવે દુબઈ જેવા સુરક્ષિત મનાતા વિસ્તારમાં પર પણ જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે દુબઈના ડિસ્કવરી ગાર્ડન વિસ્તારમાં આકાશમાંથી યુદ્ધના અવશેષો અને મલબો પડવાની ઘટનાને પગલે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ઈરાનના હુમલાની આશંકાઓ વચ્ચે દુબઈ સરકારે કડક એડવાઈઝરી જાહેર કરી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી છે.જેને પગલે હંમેશા ધમધમતા રસ્તાઓ અત્યારે સુમસાન જોવા મળી રહ્યા છે. આ અનિશ્ચિતતાની સ્થિતિમાં ગુજરાતના અને ખાસ કરીને મહેસાણા જિલ્લાના અનેક પ્રવાસીઓ ત્યાં અટવાઈ પડ્યા છે. મહેસાણાના વેપારી અલ્પેશ પટેલ તેમના મિત્રો સાથે ગત 25મી તારીખે ધંધા-વેપારના કામકાજ અર્થે દુબઈ ગયા હતા. તેમણે ત્યાંની સ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી બિઝનેસ મિટિંગોમાં વ્યસ્ત હતા.પરંતુ ગઈકાલની ઘટના બાદ સ્થિતિ ગંભીર બની છે.જોકે હાલ તેઓ સુરક્ષિત છે.પરંતુ ફ્લાઈટો રદ થવાની આશંકા અને યુદ્ધના માહોલને જોતા તેઓ ભારે ચિંતામાં છે.. ‘ભારતીયોને સલામત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે’અલ્પેશ પટેલે ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધ્યો છે.જ્યાં તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' દ્વારા અપડેટ રહેવા જણાવાયું છે. તેમણે ભારત સરકારને અપીલ કરતા કહ્યું છે કે સ્થિતિ વધુ વણસે તે પહેલાં તેમને અને અન્ય ભારતીયોને સલામત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. ‘અમે સતત ભયમાં છીએ’બીજી તરફ મહેસાણામાં રહેતા તેમના પત્ની અને પરિવારજનો પણ ભારે ચિંતામાં મુકાયા છે. તેમના પત્નીએ જણાવ્યું હતું કે ફોન પર વાતચીત થાય છે, પરંતુ ત્યાંના ભયજનક માહોલને કારણે સતત ભયમાં છીએ. પરિવારજનોએ ભારત સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરી તમામ ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ પાછા લાવવા માગ કરી છે. દુબઈમાં બહુચરાજી APMCના પૂર્વ ચેરમેન અને તેનો પરિવાર અટવાયોબહુચરાજી APMCના પૂર્વ ચેરમેન વિજયભાઈ પટેલ પણ તેમના પરિવાર સહિત આઠ સભ્યો સાથે ત્યાં ફસાઈ ગયા છે. આગામી 4થી માર્ચથી બાળકોની શાળાની પરીક્ષાઓ શરૂ થઈ રહી હોવાથી પરિવારમાં બેવડી ચિંતા જોવા મળી રહી છે.કારણ કે ફ્લાઈટો અચાનક બંધ થઈ જતાં ભારત પરત ફરવાના તમામ રસ્તાઓ હાલ પૂરતા બંધ જણાઈ રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં વિજયભાઈ પટેલે ભારત સરકારને અપીલ કરતા વિનંતિ કરી છે કે દૂતાવાસ મારફતે તાત્કાલિક દખલગીરી કરવામાં આવે અને તેમના પરિવાર સહિત ત્યાં અટવાયેલા અન્ય ગુજરાતીઓને સત્વરે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે જેથી બાળકોની પરીક્ષા અને સુરક્ષા જોખમાય નહીં.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:54 pm

ઉદગમ સ્કૂલ સામે અરજી કરનારા અરજદારોને 60 હજારનો દંડ:હાઇકોર્ટે અરજદારને કહ્યું- તમારી વિશ્વસનીયતા ઉપર શંકા, વાંરવાર થતી આવી અરજી રોકવી જરૂરી

ગુજરાત હાઇકોર્ટમાં 3 અરજદાર દ્વારા અમદાવાદમાં આવેલી પ્રખ્યાત ઉદગમ સ્કૂલ સામે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ શાળામાં કી સ્ટોન નામની સંસ્થા ક્લાસીસ ચલાવીને 90 હજાર રૂપિયા જેટલી ફી ઉતરાવે છે. શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને શાળાની ફી ઉપરાંત આ ક્લાસીસની ફી પણ અલગથી ચૂકવવી પડે છે. જે શાળાની ફી જેટલી જ થાય છે, આમ વાલીઓને લૂંટવામાં આવે છે. 'તમે એક સ્કૂલને ટાર્ગેટ કરી રહ્યા છો'સરકારી વકીલે જણાવ્યું હતું કે, પહેલા પણ આવી PIL થઈ હતી. તેમાં અરજદારની વિશ્વસનીયતા સાબિત ન થતા અરજી પરત ખેંચાઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, આ જાહેર હિતની અરજીનો વિષય નથી. આ અરજી ફગાવવી જોઈએ. તમે એક સ્કૂલને ટાર્ગેટ કરી રહ્યા છો. તમારી સમસ્યા માટે અલગ કાનૂની ઉપચારો ઉપલબ્ધ છે. વળી અરજદારોએ જણાવ્યું હતું કે તેઓને ન્યૂઝ ચેનલ મારફતે અગાઉની PIL પરત ખેંચાઈ એટલે તેઓએ અરજી કરી છે. 'અરજદારો વિશ્વસનીયતા પુરવાર કરી શક્યા નથી'કોર્ટે અરજદારોની અરજીને મંજૂરી નહીં આપતા જણાવ્યું હતું કે, અરજદારો તેઓની વિશ્વસનીયતા પુરવાર કરી શક્યા નથી. આ સંસ્થા પાછળ ગેંગ પડી ગઈ છે, કોર્ટ વ્યસ્ત સંસ્થા છે અને તેના સમયનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. આ જાહેર હિતનો વિષય નથી, શાળાના વિધાથીર્ઓના માતા-પિતાને યોગ્ય લાગશે તો કાર્યવાહી કરશે. કોર્ટે અરજદારોને રૂપિયા 60 હજારનો દંડ ફટકાર્યોકોર્ટ અરજદારની અરજી સંદર્ભે કોઈ તપાસ નહીં કરાવે, રાજ્યના અલગ અલગ જગ્યાએ રહેતા ત્રણ અરજદારે લોકો કેમ ભેગા થઈને અરજી કરે છે? વળી તેઓએ પોતાના કામકાજ વિશે પણ ફોડ પાડ્યો નથી. કોર્ટે આવી વારંવાર થતી અરજીઓ રોકવા અરજદારોને ફરી આ મુદે અરજી કરવાનો છૂટ નહીં આપીને, કુલ 60 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:54 pm

રાજ્યમાં માર્ચના પ્રારંભે ગરમીનો પ્રકોપ વધ્યો:ડીસામાં રાજ્યનું સૌથી વધુ 36 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 35.9 અને રાજકોટમાં 34.7

હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે રાજ્યનું સૌથી વધુ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ આટલો ઊંચો પારો પહોંચતા ડીસામાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 થી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેનાથી ગરમીનું જોર વધશે.તા.02-03-2026ના રોજ સવારે 8:30 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના દસ શહેરોનું ઊંચું તાપમાન: ડીસા શહેરમાં બપોર બાદ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના નિષ્ણાતોએ હોળી-ધૂળેટીના તહેવાર બાદ ગરમીનો પારો વધુ ઊંચે જવાની શક્યતા વ્યક્ત કરી છે. વધતી ગરમીને કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. નિષ્ણાતોએ લોકોને લૂ લાગવાથી બચવા માટે પૂરતી તકેદારી રાખવા અને સાવચેતી વર્તવા અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે, જેથી માર્ચ મહિનાના પ્રારંભમાં જ વધેલા ગરમીના પ્રકોપને જોતા લોકો માટે સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:51 pm

બોટાદમાં માળી પરિવારે પદયાત્રા સંઘનું સ્વાગત કર્યું:ચોટીલા જતા યાત્રાળુઓ માટે 14 વર્ષથી અવિરત સેવા

બોટાદ શહેરના વેજનાથ શિવાલય મંદિર પાસે માળી પરિવારે ચોટીલા ચામુંડા માતાના દર્શનાર્થે જતા પદયાત્રા સંઘનું સ્વાગત કર્યું. આ પરિવાર છેલ્લા ૧૪ વર્ષથી પદયાત્રીઓની સેવા કરી રહ્યું છે. ચૈત્રી પૂનમના ઉત્સવ નિમિત્તે ભાવનગરના પીથલપુરથી બોટાદ પહોંચેલા સંઘનું સ્વાગત કરાયું હતું. માળી પરિવાર દ્વારા પદયાત્રા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું. નાની બાળાઓ અને મહિલાઓએ પુષ્પવર્ષા કરી તેમજ કુમકુમ તિલક કરીને યાત્રાળુઓનું સામૈયું કર્યું. આ દરમિયાન 'જય મા ચામુંડા'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રાળુઓ માટે માળી પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ સાથે ચોટીલાવાળી ચામુંડા માતાની મહાઆરતી પણ યોજાઈ, જેમાં પરિવારના સભ્યો જોડાયા. યાત્રાળુઓને આરામ કરવા માટે પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. સેવાનો લાભ લીધા બાદ, પદયાત્રા સંઘ ચોટીલા તરફ આગળ વધવા પ્રસ્થાન કરશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:49 pm

રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસ ઝડપાયો:એસ્ટ્રોન ચોક નજીક પરપ્રાંતીય આધેડને બેલડીએ આંતરી પોલીસની ખોટી ઓળખ આપી અલગ અલગ વિસ્તારમાં લઇ જઇ રૂ.30 હજાર પડાવી લીધા

રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસની અસલી પોલીસે ધરપકડ કરી છે. શહેરના જામનગર રોડ ઉપર પરા પીપળીયા પાસે રહેતા આધેડને એસ્ટ્રોન ચોક પાસે આંતરી બે શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ 30 હજાર પડાવી લીધા હતાં. જે અંગેની ફરીયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે એક શખ્સની ધરપકડ કરી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. જામનગર રોડ પર આવેલ પરા પીપળીયા ગામે આવેલ એકતા સોસાયટીમાં શેરી નં.05માં રહેતાં જનાર્ધનભાઈ રામનરેશભાઈ સહાની (ઉ.વ.47)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છુટક કલરકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા.25ના રોજ બપોરના 2.30 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું બાઈક લઈ વીરાણી ચોક પાસે આવેલ તેમના કામનુ સ્થળ વનદ્વારકા બિલ્ડીંગથી ઘરે જમવા જતા હતા ત્યારે એસ્ટ્રોન ચોક પાસે 2.45 વાગ્યા આસપાસ ફાકી ખાવા માટે બાઈક ઉભુ રાખ્યું ત્યારે પાછળથી અજાણ્યા બે શખ્સો એક એક્ટીવામાં આવી અમે બન્ને પોલીસ છીએ, તુ પોલીસ સ્ટેશન ચાલ, જેથી તેઓએ અજાણ્યા બે માણસોને કહ્યું કે, મારો વાંક શું છે તેમ કહેતા તેમાથી એક શખ્સે તેઓનો મોબાઇલ ફોન અને બાઇકની ચાવી કાઢી લઈ તેઓના બાઈકમાં જ પાછળ બેસાડીને તથા બીજો અજાણ્યો શખ્સ તેના એક્ટીવા લઇને ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નંબર 9 ખાતે લઇ ગયા હતા. આ પછી બાઈક ઉભુ રાખી તારા બેન્ક એકાઉન્ટમાથી મારા ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્ફર કરી આપ તો જ તને તારા ઘરે જવા દઈશ કહ્યું હતું. જેથી ફરિયાદીએ ઓનલાઇન પૈસા નાખતા નથી આવડતુ કહેતા બન્ને શખ્સોએ પોલીસ સ્ટેશન ચાલ કહી ત્યાંથી પંચવટી સોસાયટી તરફ ફરિયાદીના બાઇકમાં બેસાડીને લઈ ગયા હતા અને રસ્તામાં ફરિયાદીને ફોન આપી કહ્યું કે, તારા ઓળખીતાને ફોન કર અને તેની પાસેથી રોકડા રૂ.30 હજારની વ્યવસ્થા કરી આપ જેથી ઓળખીતા અંબારામભાઈને ફોન કરીને 30 હજાર રૂપિયા ઉછીના માંગતા તેણે હા પાડી અને રાજનગર ચોક પાસે આવેલ પટેલ પેઈન્ટ્સ નામની કલરની દુકાને બોલાવતા બન્ને સાથે રાજનગર ચોકમાં આવી અને દુર ચોકમા ઉભા રહી પૈસા લેવા માટે મોકલ્યો હતો તેની પાસેથી રૂ.30 હજાર ઉછીના લઇને આપ્યા હતા. આ પછી બન્ને બાઇકની ચાવી પરત આપી અને ત્યાંથી બાઈક લઇને જતા રહ્યા હતા આ પછી મિત્રએ ફરિયાદ કરવાનું કહેતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ કરતા નકલી પોલીસ તરીકે ઓળખ આપનાર સંદિપ રામાવત અને અલ્તાફ મેમણ હોવાનું સામે આવતા હાલ પોલીસે આરોપી સંદિપ રામાવતની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રૂપિયા 30,000 અને એક્ટિવા સહિત કુલ 80,000નો મુદામાલ કબ્જે કરી ફરાર આરોપી અલ્તાફ મેમણની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ મોટા ભાગે પરપ્રાંતીય લોકોને ટાર્ગેટ બનાવી તેમને ડરાવી ધમકાવી પોલીસ તરીકેની ઓળખ આપી પોલીસ સ્ટેશન લઇ જવા અને કેસ કરવા ફહમકી આપી રૂપિયા પડાવવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી સંદીપ રામાવત ગત વર્ષે પણ નકલી પોલી તરીકે ઓળખ આપી રૂપિયા પડાવવા કેસમાં એ ડિવિઝન પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:48 pm

સુરત મનપા કમિશનર એમ નાગરાજન એક્શન મોડમાં:સ્વચ્છતા સર્વેક્ષણ અને ટેક્સ વસૂલાત અંગે મેરેથોન બેઠક બોલાવી

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા તાજેતરમાં ભટાર સ્થિત આઈસીસીસી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને વિભાગીય વડાઓ સાથે એક મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2025-26ના નાણાકીય હિસાબોની સમીક્ષા અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટેની તૈયારીઓનો હતો. બેઠકમાં મહેસૂલી આવકના લક્ષ્યાંકો સિદ્ધ કરવા પર ભાર મૂક્યો હતોઆ બેઠક દરમિયાન કમિશનરે વર્ષ 2025-26ના રિવાઈઝ્ડ બજેટ અંગે ઊંડી ચર્ચા કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 5171 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે કેપિટલ ખર્ચ પેટે 3657 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. કમિશનરે બાકી રહેલા સમયગાળામાં વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા અને મહેસૂલી આવકના લક્ષ્યાંકો સિદ્ધ કરવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને વેરા વસૂલાતની કામગીરીને વધુ તીવ્ર બનાવવા અને બાકી લેણાં વસૂલવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. સ્વચ્છતામાં અગ્રેસર રહેવા સુરત મનપા કમિશનરે અત્યારથી જ કમર કસીઆગામી દિવસોમાં કેન્દ્રીય સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ સુરતની મુલાકાતે આવનાર છે. સુરત હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર રહ્યું છે ત્યારે આ વર્ષે પણ પોતાનું સ્થાન જાળવી રાખવા માટે કમિશનર નાગરાજને અત્યારથી જ કમર કસી છે. તેમણે તમામ ઝોનલ વડાઓને આદેશ આપ્યો છે કે, શહેરના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સફાઈની કામગીરીમાં કોઈ કચાસ ન રહેવી જોઈએ. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવી અને સ્વચ્છતા અંગેના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું. સ્પોર્ટ્સ પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારવર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં સુરત મહાનગરપાલિકાએ સ્પોર્ટ્સ પોલિસી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શહેરીજનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે અને સ્પોર્ટ્સ કલ્ચર વિકસે તે માટે કમિશનરે અધિકારીઓને ખાસ તાકીદ કરી છે. બેઠકમાં એ નોંધવામાં આવ્યું હતું કે, લિંબાયત અને વરાછા ઝોનમાં કેટલાક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલ ધૂળ ખાઈ રહ્યા છે અથવા પૂરેપૂરા કાર્યરત નથી. કમિશનરે આ કોમ્પ્લેક્સને તાત્કાલિક ધોરણે રિપેર કરી, અપ-ટુ-ડેટ બનાવી જનતા માટે ખુલ્લા મૂકવા સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. આ ઉપરાંત શહેરમાં નવા પે એન્ડ પાર્ક પ્રોજેક્ટ્સ અને સ્પોર્ટ્સ સુવિધાઓના અમલીકરણ અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં તમામ ઝોનના કાર્યપાલક ઈજનેરો, ઝોનલ વડાઓ, એડિશનલ સિટી ઈજનેરો અને અન્ય વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે કમિશનરે તાકીદ કરી હતી કે વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી અને પ્રજાલક્ષી કાર્યોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા એ પ્રાથમિકતા હોવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:47 pm

નભોઈ પાસે કેનાલમાં ઝંપલાવનાર મહિલાનું રેસ્ક્યુ:ગાંધીનગરમાં ફાયરની 26 ટીમો નદી અને કેનાલના પોઈન્ટ્સ પર તૈનાત, હોળીના તહેવાર પર જાનહાનિ ટળી

આજે 2 માર્ચે બપોરે નભોઈ પાસેની નર્મદા કેનાલમાં અકસ્માતે ખાબકેલી 53 વર્ષીય મહિલાને ફરજ પર હાજર ફાયર જવાનોએ ત્વરિત કાર્યવાહી કરી બચાવી લીધી હતી. ઉલ્લેખનીય છેકે હોળી ધુળેટીના પર્વને લઈ 2થી 4માર્ચ સુધી 26 ટીમો સાબરમતી નદી અને નર્મદા કેનાલના વિવિધ 11 જેટલા સંવેદનશીલ પોઈન્ટ્સ પર સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી સતત મોનિટરિંગ કરી રહી છે. કેનાલમાં ખાબકેલી મહિલાને બચાવાઈહોળી અને ધુળેટીના પવિત્ર પર્વની ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહીં માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલા વિશેષ બંદોબસ્તને કારણે નર્મદા કેનાલમાં ખાબકેલી મહિલાને ગણતરીની મિનિટોમાં સહી-સલામત બહાર કાઢી લેવામાં આવી હતી. મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢીને અડાલજ પોલીસને જાણ કરાઈઆજે બપોરે આશરે નભોઈ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં એક 53 વર્ષીય મહિલા અકસ્માતે ખાબક્યા હતા. દરમિયાન ધુળેટીના બંદોબસ્ત માટે ત્યાં અગાઉથી જ તૈનાત ફાયર વિભાગના જવાનો મયુરધ્વજસિંહ ચાવડા, હર્ષિલ સાધુ અને વનરાજસિંહ ગોહિલે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર કેનાલમાં ઝંપલાવ્યું હતું. અને ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી અડાલજ પોલીસને સોંપવામાં આવ્યા હતા. રંગોનો તહેવાર કોઈ માતમમાં ના પરિણમે તે માટે 26 ટીમો હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન જળાશયોમાં ન્હાવા પડતા લોકો ડૂબી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, રંગોનો આ તહેવાર કોઈ માતમમાં ના પરિણમે તે માટે 26 સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. 2થી 4 માર્ચ સુધી સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી અમારા જવાનો સતત પેટ્રોલીંગ અને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નદી અને કેનાલના વિવિધ વિસ્તારોમાં કુલ 52 જવાનો તૈનાતગાંધીનગરના સાબરમતી નદી અને કેનાલના વિવિધ વિસ્તારોમાં કુલ 52 જવાનો તૈનાત કરાયા છે. જેમાં સેક્ટર 30 બ્રિજ, સંત સરોવર, કોટેશ્વર મહાદેવ, શાહપુર બ્રિજ, ગિફ્ટ સિટી સિગ્નેચર બ્રિજ, ભાટ ટોલ પ્લાઝા, ધોળેશ્વર મહાદેવ, કરાઈ સાયફન, નભોઈ બ્રિજ, સુઘડ અને ઝુંડાલ નર્મદા કેનાલ પર જવા જવાનો ફરજ બજાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:36 pm

ડાંગર કોલેજની દાદાગીરી, લેઇટ ફી ના દરરોજના રૂ.100:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનનો ઉગ્ર વિરોધ, VC તુમ એક કામ કરો - ખુરશી છોડ આરામ કરો ના નારા લાગ્યા, રામધૂન બોલાવાઈ

રાજકોટની બી. એ. ડાંગર હોમિયોપેથી કોલેજ ફરી વિવાદમાં આવી છે. અહીં અહીં લેઇટ ફી ની પેનલ્ટી તરીકે દરરોજના રૂ.100 વસૂલવામાં આવે છે અને ફી ન ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવતા નથી અને વાયવામાં નપાસ કરવાની ધમકી આપવામાં આવે છે ત્યારે આજે 2 માર્ચના વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીએ હલ્લાબોલ કરી કુલપતિનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જે સમયે બી. એ. ડાંગર કોલેજ હાય હાય, ફી નહીં તો ફોર્મ નહીં આવા અન્યાય બંધ કરો અને VC તુમ એક કામ કરો ; ખુરશી છોડ આરામ કરો જેવા નારા લાગ્યા હતા. જોકે કુલપતિએ 2 દિવસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. વિદ્યાર્થી સંગઠનના બીપીન પરમારે જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી. એ. ડાંગર હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓને થયેલા અન્યાયનો ન્યાય માંગવા માટે કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી. જે કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેઈટ ફી ના એક દિવસના રૂ.100 વસૂલવામાં આવે છે. જેવી વિદ્યાર્થીઓએ ફી નથી ભરી તેઓના પરીક્ષા આપવામાં કોલેજ દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે અને વાયવામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવે છે તે બંધ થાય. આ કોલેજમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં ન આવે તેવી માંગ છે. વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજના બીજા વર્ષના વિધાર્થીઓના પરીક્ષા ફોર્મ લેટ ફી વસૂલ્યા વિના ભરવાની મંજૂરી આપવામાં આવે, ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવતી એટેન્ડન્સ ફી, લેટ ફી અને અન્ય પ્રોસેસિંગ ફી પર પ્રતિબંધ મૂકવો, દરેક પ્રકારની મેડિકલ પરીક્ષાનું કેન્દ્ર બી.એ. ડાંગર હોમીઓપેથીક કોલેજમાં ન આપવામાં આવે કેમકે વિદ્યાર્થીઓને વાયવા જેવી પરીક્ષામાં નપાસ કરવાની ધમકી આપી ષડયંત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત કૉલેજના ટ્રસ્ટીના પુત્ર આત્મન મહેતા પર તાત્કાલિક પગલાં લેવા કેમકે તે એટેન્ડન્સ પેનલ્ટી ના પૈસા માટે વિધાર્થીઓને દારૂ પીને મારપીટ કરવાની ધમકી આપે છે. બી. એ. ડાંગર હોમીયોપેથીક કોલેજને સંપૂર્ણ પણે વિધાર્થીઓની પરીક્ષા બાદ બંધ કરવામાં આવે જેથી આવા ટ્રસ્ટી અને મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી સંગઠન દ્વારા બે દિવસ પહેલા ડાંગર કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જે બાદ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડાંગર કોલેજ સામે પગલાં લેવા અને ફી ના વાંકે કોઈ વિદ્યાર્થી પરીક્ષા ફોર્મ ભર્યા વિનાનો ન રહી જાય તેની તકેદારી રાખવા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:27 pm

ઋતુરાજ દેસાઈ બન્યા GAS એસોસિએશન પ્રમુખ:ગાંધીનગરમાં મળેલી વાર્ષિક સભામાં નવા હોદ્દેદારોની વરણી અને GASA એપ લોન્ચ કરાઈ

ગાંધીનગર ખાતે 01 માર્ચના રોજ 'ગુજરાત વહીવટી સેવા એસોસિએશન' (GAS) ની વાર્ષિક સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા માટે નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નવી ટીમની વરણી અને મહત્વના હોદ્દા એસોસિએશનના નવા પ્રમુખ તરીકે આણંદના નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. તેમની સાથે મહામંત્રી તરીકે અધિક કલેક્ટર એન. આર. ધાધલ અને ખજાનચી તરીકે અધિક કલેક્ટર શિવરાજ ગીલવા જવાબદારી સંભાળશે. આ ઉપરાંત, ઉપપ્રમુખ તરીકે અધિક કલેક્ટર સંવર્ગમાંથી વિજય રબારી, કેયુર જેઠવા, ધર્મેશ મકવાણા તથા નાયબ કલેક્ટર સંવર્ગમાંથી ભૂમિકા વટાલીયા અને મહિપતસિંહ ડોડિયાની નિમણૂક થઈ છે. સહમંત્રી તરીકે રવિરાજસિંહ પરમાર, સન્ની પટેલ, જબુકા કોટડીયા, સુરજ બારોટ, ચંદ્રવિજય પ્રજાપતિ, આરતી ગોસ્વામી, ભાવિન કથિરીયા, સિધ્ધાર્થ ત્રિવેદી અને આદર્શ બસેરની વરણી કરવામાં આવી છે. GASA મોબાઈલ એપનું લોન્ચિંગ અને સન્માન સમારોહ એસોસિએશનની કામગીરીમાં ટેકનોલોજીનો સમન્વય સાધવા માટે પૂર્વ પ્રમુખ મિતેષ પંડ્યા (IAS) ના હસ્તે 'GASA મોબાઈલ એપ' લોન્ચ કરવામાં આવી હતી. આ એપ અધિકારીઓ વચ્ચેના સંકલન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. બેઠક દરમિયાન GAS સંવર્ગમાંથી IAS માં બઢતી મેળવનાર અધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ નિવૃત્ત થઈ રહેલા અધિકારીઓને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. OPS માટે આભાર પ્રસ્તાવ અને સંકલ્પ સભામાં 01 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા અધિકારીઓ અને કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) માં સમાવવાના ઐતિહાસિક નિર્ણય બદલ રાજ્ય સરકારનો આભાર માનતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. નવનિયુક્ત પ્રમુખ ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, એસોસિએશન હંમેશા સરકારની નીતિઓ સાથે સુસંગત રહીને નાગરિકોની સેવા માટે વધુ કાર્યદક્ષ રીતે કામ કરશે. આ બેઠકમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:22 pm

જામનગરમાં HPV રસીકરણ અભિયાન શરૂ:14 વર્ષની દીકરીઓને ગર્ભાશયના કેન્સરથી સુરક્ષા મળશે

જામનગર શહેરમાં 14 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવવા માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન નિલકંઠનગર અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) ખાતેથી શરૂ થયું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ઉપમેયર ક્રિશ્ના સોઢા, કોર્પોરેટર પાર્થ કોટડીયા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આ અભિયાનને દીકરીઓના સ્વસ્થ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું હતું અને વાલીઓને તેમાં સહભાગી થવા અપીલ કરી હતી. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ વાલીઓને તેમની 14 વર્ષની દીકરીઓને રસી અપાવીને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. ગર્ભાશયના મુખનું કેન્સર મહિલાઓમાં જોવા મળતા સામાન્ય કેન્સરમાંથી એક છે, જેનું મુખ્ય કારણ HPV વાયરસ છે. સમયસર રસીકરણ દ્વારા આ ગંભીર બીમારીથી અસરકારક બચાવ શક્ય છે. HPV રસી વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત અને સુરક્ષિત છે, જે માત્ર એક જ ડોઝ દ્વારા અસરકારક રક્ષણ પૂરું પાડે છે. આ અભિયાન અંતર્ગત 14 વર્ષની તમામ દીકરીઓ (જેમણે 14મો જન્મદિવસ પૂર્ણ કર્યો છે પરંતુ 15મો નહીં) રસીનો લાભ લઈ શકશે. Gardasil-4 નામની આ રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવશે, જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. રસીકરણ માટે માતા-પિતાની લેખિત સંમતિ ફરજિયાત છે. જામનગર શહેરના તમામ 13 અર્બન PHC અને જી.જી. હોસ્પિટલ (GGH) ખાતે HPV રસીકરણ ઉપલબ્ધ રહેશે. આગામી 90 દિવસ સુધી આ સઘન અભિયાન ચલાવવામાં આવશે, જેથી તમામ પાત્ર કિશોરીઓ સુધી રસી પહોંચાડી શકાય. રસી અપાયા બાદ દીકરીઓને 30 મિનિટ સુધી અવલોકન હેઠળ રાખવામાં આવશે. સામાન્ય રીતે હળવો તાવ અથવા ઇન્જેક્શન સ્થળે દુખાવો જેવી સામાન્ય આડઅસરો થઈ શકે છે, જે તાત્કાલિક અને સ્વાભાવિક છે. કોઈપણ તબીબી સહાય માટે હેલ્પલાઇન નંબર 104 પર સંપર્ક કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:14 pm

ધરમપુરમાં ઓવરટેક બાબતે દંપતી પર હુમલો:યુવાનનો ખભો ઉતરી ગયો, ત્રણ શખ્સો સામે ગુનો

વલસાડના ધરમપુર નજીક હનમતમાળ બજારમાં ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે દંપતી પર હુમલો થયો હતો. ત્રણ બાઇક સવારોએ દંપતીને આંતરીને માર માર્યો હતો, જેમાં યુવાનનો જમણો ખભો ઉતરી ગયો હતો. ધરમપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા ભાવિનભાઈ દીપકભાઈ પવાર (ઉં.વ. ૨૪) તેમની પત્ની અરૂણાબેન સાથે રવિવારે સાપુતારાથી મોપેડ (GJ-15-DR-8232) પર પરત ફરી રહ્યા હતા. સાંજે પોણા છ વાગ્યાના અરસામાં હનમતમાળ મેઇન બજાર પાસે તેઓએ એક હોન્ડા સાઇન (GJ-15-DA-2014) બાઇકને ઓવરટેક કરી હતી. આ દરમિયાન બાઇક સવારો એકદમ નજીક આવી જતાં અરૂણાબેન ગભરાઈ ગયા હતા અને બૂમ પાડી હતી. આ બાબતની અદાવત રાખીને ત્રણેય બાઇક સવારોએ દંપતીની મોપેડ ઉભી રખાવી હતી. તેઓએ 'તમે ગાળો કેમ આપી?' તેમ કહી ઝઘડો શરૂ કર્યો અને દંપતીને બીભત્સ ગાળો આપવા માંડી હતી. ભાવિનભાઈએ સમજાવવાનો પ્રયાસ કરતા ત્રણેય જણાએ તેમની સાથે ઝપાઝપી કરી તમાચો માર્યો હતો. પત્ની અરૂણાબેન પતિને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ભાવિનભાઈનું હેલ્મેટ છીનવી લીધું અને તેનાથી જ તેમને માર મારી નીચે પાડી દીધા હતા. જમીન પર પડ્યા બાદ તેમના ખભાના ભાગે બેફામ લાતો મારવામાં આવી હતી, જેના કારણે તેમનો જમણો ખભો ખસી ગયો હતો. બજારમાં હોબાળો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ જોઈ હુમલાખોરો 'જો બીજી વાર આ વિસ્તારમાં દેખાયા તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભાવિનભાઈને તાત્કાલિક શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હોન્ડા સાઇન બાઇકના નંબરના આધારે ત્રણેય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:14 pm

ભારતીય કિસાન સંઘે બનાવટી દૂધ મુદ્દે આવેદનપત્ર આપ્યું:સાબરકાંઠા કલેક્ટર, રજીસ્ટ્રાર અને સાબરડેરી ચેરમેનને રજૂઆત

હિંમતનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સાબરકાંઠા કલેકટર, જિલ્લા રજીસ્ટ્રાર અને સાબરડેરીના ચેરમેનને બનાવટી દૂધના મુદ્દે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કિસાન સંઘે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરવાની માંગ કરી છે. સાબરકાંઠા ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેકટર અને જિલ્લા રજીસ્ટ્રારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સાબરડેરીમાં કેટલાક સમયથી બનાવટી દૂધ આવતું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ચાર દૂધ મંડળીઓમાં જિલ્લા બહારથી નકલી દૂધના ટેન્કરો આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત, જિલ્લામાં સલાલ ખાતે પણ બનાવટી દૂધ બનાવતી એક ડેરી પકડાઈ હતી. કિસાન સંઘે આ અંગે તટસ્થ તપાસ કરી જવાબદાર લોકો સામે ગુનાહિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે બનાવટી દૂધ સાબરડેરી સુધી કેવી રીતે પહોંચ્યું અને અધિકારીઓએ આ અંગે શું ધ્યાન આપ્યું. લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાથી તાત્કાલિક કડક પગલાં લેવાની પણ માંગ કરાઈ છે. સાબરડેરીના ચેરમેનને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, હિંમતનગરમાં મળેલી બેઠકમાં ચર્ચા મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ચાર દૂધ મંડળીઓમાં જિલ્લા બહારથી ટેન્કર મારફત નકલી દૂધ આવ્યું હતું. આ ષડયંત્ર પકડાયાના સત્તાવાર અહેવાલો મળ્યા છે, જેનાથી બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોમાં ભારે આક્રોશ જોવા મળે છે. ભારતીય કિસાન સંઘે માંગ કરી છે કે નિયામક મંડળ દ્વારા આ ષડયંત્ર પકડાયા પછી શું કાર્યવાહી કરવામાં આવી અને કયા પગલાં લેવાયા તેની માહિતી દૂધ ઉત્પાદકો સમક્ષ જાહેર નિવેદન આપીને કરવી જોઈએ. કિસાન સંઘનું માનવું છે કે આ પ્રકારનો અપરાધ માનવ જીવન માટે ગંભીર છે અને જિલ્લાની આર્થિક નસ સમાન સાબર ડેરી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ખેડૂતોના શુદ્ધ દૂધમાં ભેળસેળ એ વિશ્વાસઘાત છે અને પકડાયેલા ગુનેગારો સામે ગંભીર કલમો લગાવી કેસ દાખલ થવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:08 pm

24 કલાકમાં 2° તાપમાન વધ્યું, હવે ગરમી ‘ડિગ્રી’ બતાવશે!:ત્રણ દિવસમાં 5 ડિગ્રી વધવાની આગાહી, બીજા દિવસે પણ ડીસા સૌથી ગરમ, 4થી 6 માર્ચ લોકો માટે ભારે

રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સામાન્ય રીતે માર્ચના પહેલા અઠવાડિયામાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો જોવા મળે છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો નોંધાઈ શકે છે, જેના કારણે રાજ્યવાસીઓને ઉકળાટ અને ડિસ્કમ્ફર્ટનો અનુભવ કરવો પડી શકે છે. 36 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ સામાન્યથી વધુ તાપમાન નોંધાતા ઉનાળાની તીવ્રતા વહેલી શરૂ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં રાજ્યનું સૌથી વધુ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે દર્શાવે છે કે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ છે. ભેજ વધતા ગરમી સાથે ઉકળાટનો અનુભવ વધુ થશેઃ એ. કે. દાસહવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે રાજ્યમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને બપોરના સમયમાં ગરમી વધુ અસરકારક બની શકે છે. તે ઉપરાંત 4થી 6 માર્ચ દરમિયાન ભેજનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભેજ વધતા ગરમી સાથે ઉકળાટનો અનુભવ વધુ થશે, જેને કારણે લોકોને ડિસ્કમ્ફર્ટનો સામનો કરવો પડી શકે છે. માર્ચમાં છૂટાછવાયા વરસાદીની પણ આગાહીઉનાળાની આગાહી અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જોકે કચ્છ અને દ્વારકા વિસ્તારોમાં તાપમાન સામાન્ય સ્તર આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પ્રિમોન્સૂન પ્રવૃત્તિઓને કારણે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. વધુમાં, રાજ્યમાં માર્ચ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:06 pm

મક્કા-મદીના ગયેલા ભાવનગરના 13 લોકો મુશ્કેલીમાં મુકાયા:યુદ્ધના કારણે એર કનેક્ટિવિટી બંધ, ભાવનગરના ઉમરા યાત્રાળુઓની વાપસી અટકી

ઇરાન-અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર ભારતમાંથી ઉમરા માટે ગયેલા સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક એર કનેક્ટિવિટી બંધ થતાં અનેક યાત્રાળુઓ પરત ફરી શક્યા નથી. આ પરિસ્થિતિમાં ભાવનગરના પણ 13 લોકો ઉમરા પૂર્ણ કરીને આજની પરત ફ્લાઇટમાં આવવાના હતાં, પરંતુ ફ્લાઇટ રદ થતાં મધ્યમવર્ગના આ યાત્રાળુઓ વિદેશમાં ફસાઈ જતા તેમની ચિંતા અને મુશ્કેલીમાં વધારો થયો છે. મક્કા મદીના ગયેલા 13 લોકો ફસાયાઆ અંગે ખેરવા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બ્રાન્ચ મેનેજર જહુરભાઈ જેજા જણાવ્યું હતું કે, અમારા હાજીઓ મક્કા મદીના ઉમરા કરવા ગયા હતા, જેમાં 13 લોકો છે. જેમાં બાળકો, નવજવાનો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. જેઓની ફ્લાઈટ આજરોજ બે તારીખે હતી, પણ જે અત્યારે જે સ્થિતિ મિડાલિસ્ટમાં ઉભી છે એના કારણે બધી ફ્લાઈટો કેન્સલ થઈ છે, અને જે લોકો વીસ દિવસના મેનેજમેન્ટ સાથે તે ખર્ચ કરી શકે તેવી તૈયારી સાથે ગયા હતાં. 'એ લોકો મુશ્કેલીમાં અને તકલીફમાં છે'તેને વધુમાં કહ્યું કે, ગરીબ મધ્યમ વર્ગ જેઓની એક અપેક્ષા હોય છે કે પોતાની જિંદગીની અંદર એક વખત મક્કા મદીનાની યાત્રા કરે, હવે ત્યાં ગયા હોય અને આ વધારાનો ખર્ચ હવે માથે થાય, અને આ અનિશ્ચિત છે, ક્યાં સુધી શું થશે ખબર નથી. તો એ લોકો મુશ્કેલીમાં અને તકલીફમાં છે. મોંઘી વસ્તુઓ ને મેડિસિનના પ્રોબ્લેમટ્રાવેલ્સના બ્રાન્ચ મેનેજરે કહ્યું કે, અમારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી સંપૂર્ણ મદદ અને સહકાર છે, એ લોકોને સસ્તામાં સસ્તુ જે કાંઈ આયોજન થતું હોય એ અમે પ્રયત્ન કરીએ છીએ. અને ભારત સરકાર પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે છેલ્લે આ લોકોને ભારત લાવવા માટે પ્રયત્ન કરશે. કેમકે તેઓની દવા અને જે કંઈ જીવન પ્રક્રિયા છે તે આપણાથી અલગ હોય, એની દવા પણ માફક ન આવતી હોય એટલે મેડિસિનના પ્રોબ્લેમ છે. 'વધારાના પૈસા મેનેજ કરવા તે એની માટે અઘરું થઈ જાય'તેને વધુમાં કહ્યું કે, આર્થિક પરિસ્થિતિના પ્રોબ્લેમ છે, તેઓ માન-માન પૈસા ભેગા કરીને ગયા હોય, હવે વધારાના પૈસા મેનેજ કરવા તે એની માટે અઘરું થઈ જાય, તો ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે. હવે આમાં વહેલી તકે થોડીક મહેનત કરીને આપણા તમામ ભારતીયોને પાછા લાવે, અને અમારા લોકો જે ફસાયા છે અને સાથે હજ કરવા ગયેલા યાત્રીઓના પરિવારજનોને કહેવા માંગીએ છીએ કે તમે નિશ્ચિત રહેજો, અમે તેને સંપૂર્ણ સાથ સહકાર આપીએ છીએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:05 pm

8 વર્ષથી ફરાર લૂંટનો આરોપી ઝડપાયો:બોટાદ પોલીસે મુંબઈથી રૂ.10,000ના ઈનામીને દબોચ્યો

બોટાદ પોલીસે લૂંટના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પર રૂ. 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. નૌશાદ અહેમદ હકીમ ઉલ્લા નામનો આ આરોપી લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. તે લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. બોટાદ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી ગુપ્ત બાતમીના આધારે મુંબઈમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપીને ઝડપી લેવામાં આવ્યો. આરોપીને બોટાદ લાવવામાં આવ્યો છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. આ કાર્યવાહીથી બોટાદ પોલીસે આઠ વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:03 pm

ગઢડાના બે ભાઈઓ દુબઈમાં સુરક્ષિત:પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરી કોઈ તકલીફ ન હોવાનું જણાવ્યું

બોટાદ જિલ્લાના ગઢડા શહેરના બે સગા ભાઈઓ ભાવિક મુકેશભાઈ જોષી અને ધવલ મુકેશભાઈ જોષી હાલ દુબઈમાં સુરક્ષિત છે. દુબઈમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. ગઢડા શહેરના શ્રીજી સિનેમા પાસેના વિસ્તારના રહેવાસી આ બંને ભાઈઓમાંથી ભાવિક જોષી છેલ્લા છ મહિનાથી દુબઈમાં છે, જ્યારે તેનો નાનો ભાઈ ધવલ દોઢ મહિના પહેલા ત્યાં ગયો હતો. ભાવિક જોષી ઓલ્ડ દુબઈના મીના બજાર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમના માતા-પિતાએ જણાવ્યું કે બંને ભાઈઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ તકલીફ નથી. પરિવાર નિયમિતપણે વીડિયો કોલ દ્વારા તેમની સાથે વાતચીત કરે છે. જોકે, દુબઈમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે પુત્રો ત્યાં હોવાથી માતા-પિતા અને પરિવારજનોમાં ચિંતાનો માહોલ હતો. આ માહિતી બંને ભાઈઓના પિતા મુકેશભાઈ જોષીએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 3:01 pm

દુબઈ હુમલા બાદ કેશોદનો પરિવાર ચિંતિત.:​દુબઈમાં થયેલા હુમલા બાદ કેશોદમાં રહેતા પરિવારના જીવ અધ્ધર: હુમલાના સ્થળથી 7 કિમી દૂર રહેતા અરવિંદ જયસ્વાલ સુરક્ષિત હોવાની પુષ્ટિ, પરત લાવવા સરકારને અપીલ.

છેલ્લા બે-ત્રણ દિવસથી દુબઈમાં સર્જાયેલી અશાંતિ અને હુમલાની ઘટનાઓને પગલે વિદેશમાં વસતા ગુજરાતીઓના પરિવારજનોમાં ભારે ફાળ પડી છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના કેશોદના વતની અને રોજગાર અર્થે દુબઈ ગયેલા અરવિંદ જયસ્વાલના પરિવારમાં હુમલાના સમાચાર મળતા જ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, તાજેતરના અહેવાલ મુજબ અરવિંદભાઈ સુરક્ષિત હોવાનું તેમના પરિવારે નિવેદન આપ્યું છે. ​અરવિંદભાઈના ભાઈ શ્રવણભાઈ રામગોપાલ જયસ્વાલે જણાવ્યું હતું કે તેમનો ભાઈ છેલ્લા બે મહિનાથી દુબઈમાં ફર્નિચર બનાવવાનું કામ કરવા માટે ગયો છે. તેઓ દુબઈના સોનાપુર વિસ્તારમાં મેંગો માર્કેટ નજીક રહે છે. હુમલાની જે ઘટના બની તે તેમના રહેઠાણથી આશરે 7 થી 8 કિલોમીટર દૂર થઈ હતી. શરૂઆતમાં બોમ્બ વિસ્ફોટ અને હુમલાના અસ્પષ્ટ સમાચાર મળતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ ટેલિફોનિક વાતચીત બાદ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. ​શ્રવણભાઈએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે જ્યારે મેં મારા ભાઈ સાથે વાત કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે હુમલા સમયે જોખમ ઘણું વધારે હતું, પરંતુ છેલ્લા બે દિવસથી ત્યાં થોડી શાંતિ જોવા મળી રહી છે. અરવિંદની સાથે અન્ય 8 થી 10 લોકોની ટીમ પણ ત્યાં ફર્નિચરના વ્યવસાય અર્થે કામ કરી રહી છે. અત્યારે તેઓ રૂમ પર સુરક્ષિત છે અને પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે. ​વિદેશમાં રહેલા ગુજરાતીઓની સુરક્ષાનો મુદ્દો અત્યારે ગંભીર બન્યો છે. શ્રવણભાઈ જયસ્વાલે સરકારને નમ્ર અપીલ કરતા જણાવ્યું છે કે, દુબઈની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવે અને ત્યાં ફસાયેલા શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસે, તો તેમના ભાઈ અને અન્ય સાથીદારોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:46 pm

નસવાડીના કુપ્પામાં સ્ટ્રેચરમાં પ્રસૂતાની ડિલિવરી:રસ્તાના અભાવે 108 ન પહોંચી, પરિવારજનોએ સ્ટ્રેચરમાં ઉચકી

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપ્પા ગામે રસ્તાના અભાવે વધુ એક વખત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પ્રસૂતિ પીડા ઉપડતા એક મહિલાને સ્ટ્રેચરમાં ઉચકીને લઈ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં માતા અને નવજાત શિશુને ફરીથી સ્ટ્રેચરમાં ઉચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટના નસવાડી તાલુકાના અંતરિયાળ કુપ્પા ગામની છે, જ્યાં 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી. પરિણામે, પ્રસૂતા મહિલાને લગભગ 1 કિલોમીટર દૂર આવેલા પાકા રસ્તા સુધી સ્ટ્રેચરમાં લઈ જવાની ફરજ પડી હતી. કુપ્પા ગામના રમીલાબેન દિલીપભાઈ ભીલને સાંજે લગભગ 6:30 વાગ્યે પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક સ્ટ્રેચરની વ્યવસ્થા કરી અને લગભગ 7 વાગ્યે ટોર્ચના અજવાળે રમીલાબેનને સ્ટ્રેચરમાં ઉચકીને છોટી ઉમર તરફ નીકળ્યા હતા. નાના-મોટા ટેકરા અને ઉબડ-ખાબડ રસ્તાઓ પરથી પસાર થતી વખતે અડધે રસ્તે જ રમીલાબેનને અસહ્ય દુખાવો ઉપડ્યો અને રસ્તામાં જ તેમની પ્રસૂતિ થઈ ગઈ. પ્રસૂતિ થયા બાદ પરિવારજનોએ માતા અને નવજાત બાળક બંનેને સ્ટ્રેચરમાં ઉચકીને છોટી ઉમર ખાતે ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. ત્યાંથી તેમને દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ રસ્તાનો અભાવ જોવા મળે છે. જેના કારણે સ્થાનિક લોકોને, ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને બીમાર વ્યક્તિઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કુપ્પાથી છોટી ઉમર સુધીનો રસ્તો ન બનવાને કારણે અહીંના લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા રસ્તા બનાવવાની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:43 pm

ડાકોર જતા પદયાત્રીઓ માટે હોળી પ્રસાદી કેમ્પ:માં વીરબાઈ જલારામ સત્સંગ મંડળે હાથીજણ ખાતે આયોજન કર્યું

રાયપુરના માં વીરબાઈ જલારામ સત્સંગ મંડળ દ્વારા હોળી નિમિત્તે ડાકોર જતા પદયાત્રીઓ માટે પ્રસાદી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ હાથીજણ ખાતે રાજસ્થાન રેસ્ટોરન્ટ, ઓક્ટ્રોય નાકાની બાજુમાં, તારીખ 27 ફેબ્રુઆરી, 2026 થી 1 માર્ચ, 2026 દરમિયાન યોજાયો હતો. આ પ્રસાદી કેમ્પની પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મ્યુનિસિપલ કાઉન્સિલર મૌલિકભાઈ અતુલભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રદીપસિંહ જાડેજાએ આયોજકો જીગ્નેશભાઈ ઠક્કર, સન્નીભાઈ ઠક્કર, કુણાલ પટેલ અને આશિષભાઈ ઠક્કર પાસેથી કેમ્પ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે સેવા કાર્યની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સહાયની જરૂર પડે તો જણાવવા કહ્યું હતું. આયોજકોએ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓએ પ્રસાદનો લાભ લીધો હતો. આયોજક મંડળના કાર્યકર્તાઓ છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:43 pm

રાણીપના બાળકો 6 મિનિટમાં 100 દાખલા ગણી વિજેતા:પ્રોએક્ટિવ અબેકસના વિદ્યાર્થીઓએ પુણેની રાષ્ટ્રીય સ્પર્ધામાં જીત મેળવી

પુણે ખાતે પ્રોએક્ટિવ અબેકસ કોલ્હાપુર સંસ્થા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અબેકસ સ્પર્ધામાં રાણીપના પ્રોએક્ટિવ અબેકસ ક્લાસના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં રાણીપના બાળકોએ ૬ મિનિટમાં ૧૦૦ દાખલા ગણીને વિજય મેળવ્યો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી ૪૦૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજયી બન્યા બાદ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા માટે લાયક ઠર્યા હતા. પ્રોએક્ટિવ અબેકસ, રાણીપમાંથી કુલ ૧૦ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી સાત વિદ્યાર્થીઓએ વિજય પ્રાપ્ત કર્યો છે. વિજેતાઓમાં ધ્યાની ચૌહાણ, ફિયાન પટેલ, પૂર્વ પટેલ, મિતાંશ ઠાકોર, મિશા પટેલ, આયાંશ શાહ અને ભવ્ય પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજવી પટેલ, દ્રવ્ય પટેલ અને દત્ત પટેલ સહિતના અન્ય બાળકોએ પણ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તમામ વિજેતા બાળકોને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:42 pm

અખંડ જ્યોત દંડવત યાત્રા જામનગર પહોંચી:ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માગ સાથે યાત્રાનું આગમન

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે શરૂ થયેલી 'અખંડ જ્યોત દંડવત યાત્રા' આજે જામનગર પહોંચી છે. અમિતસિંગ યાજ્ઞિક દ્વારા શરૂ કરાયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાના રક્ષણ, સેવા અને કલ્યાણ માટે સરકારને અપીલ કરવાનો છે. આ યાત્રા ગત સોમવાર, 23 ફેબ્રુઆરી 2026ના રોજ લોધિકાથી શરૂ થઈ હતી અને આગામી 17 માર્ચ 2026ના રોજ દ્વારકા ખાતે સમાપ્ત થશે. આજે, 2 માર્ચના રોજ, જામનગરમાં સ્વામિનારાયણ મંદિર, બેડીગેટ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આજે સાંજે 3:30 કલાકે યાત્રા બેડીગેટથી પ્રસ્થાન કરી, પંચેશ્વર ટાવર થઈને ખંભાળિયા બાયપાસ તરફ આગળ વધશે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો અપાવવાનો છે, જેને આયોજકો સંસ્કૃતિની સેવા માને છે. આ પવિત્ર હેતુ માટે નીકળેલી યાત્રામાં જોડાવા અને ગૌરક્ષાના આ મહાયજ્ઞમાં સહભાગી થવા માટે જામનગરના તમામ ગૌભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાત્રા ગૌમાતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક બની રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:42 pm

પ્રજાપતિ મંડળનો 33મો જીવનસાથી પસંદગી ઉત્સવ યોજાયો:વસ્ત્રાલના માધવ ફાર્મ ખાતે 1108 યુવક-યુવતીઓએ ભાગ લીધો

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા 1લી માર્ચ, 2026ના રોજ અમદાવાદના વસ્ત્રાલ સ્થિત માધવ ફાર્મ ખાતે 33મો જીવનસાથી પસંદગી ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજના 1108 યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર યુવક-યુવતીઓએ સ્ટેજ પર આવીને પોતાનો બાયોડેટા અને પરિચય આપ્યો હતો, જેનાથી આ ઉત્સવ સફળ બન્યો હતો. આ કાર્યક્રમ મંડળની યુવા મેળા જેવી યશ કલગીરૂપ પ્રવૃત્તિઓનો એક ભાગ છે. આ શુભ પ્રસંગે સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ ડૉ. મૃણાલ કે. પ્રજાપતિ, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ (ગુજરાત) રસિકભાઈ પ્રજાપતિ અને ભાજપ બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગરના પ્રમુખ ગૌરંગભાઇ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન કાંતિભાઈ ડી. પ્રજાપતિ (ગાંધીનગર) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ભોજનદાતા તરીકે રાહુલભાઈ ડી. પ્રજાપતિ રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ પ્રમુખ યતીનભાઈ કે. પ્રજાપતિએ સૌનું સ્વાગત કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. મંડળની પ્રવૃત્તિઓ વિશેનો સવિસ્તાર અહેવાલ મહામંત્રી ડૉ. જગદીશચંદ્ર જી. પ્રજાપતિએ રજૂ કર્યો હતો. કન્વીનર દિપકભાઈ જી. દલવાડી અને સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય ભૂમિકા ભજવી હતી. ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને મહિલા સમિતિનો પણ સહયોગ મળ્યો હતો. આમ, આ પ્રસંગને સંપૂર્ણ સફળતા મળી હતી. ઉપસ્થિત 7000 જેટલા જ્ઞાતિજનોએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:41 pm

શામળાજીમાં ફાગણી પૂનમની ઉજવણી:ભગવાનને ચાંદીની પિચકારીથી રંગ છંટકાવ, ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર; ભક્તો ઉમટ્યા

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હોળી-ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. આજે ફાગણ સુદ ચૌદસ એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા હતા. ભગવાનને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને ચાંદીની પિચકારીથી કેસુડાના રંગ છાંટવામાં આવ્યા હતા. ભક્તો પર પણ પિચકારી વડે રંગ છાંટવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સાંજે 6:30 કલાકે પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ પણ યોજાશે. શામળાજીમાં બે દિવસીય પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં આજે વ્રતની પૂનમ અને આવતીકાલે દર્શનની પૂનમ છે. પૂજારી દ્વારા ભગવાનને અબીલ-ગુલાલ અને કેસુડાના રંગોથી હોળી મનોરથ કરાવવામાં આવ્યો હતો. જોકે, આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરના નિયમિત દર્શનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણને કારણે મંદિર ખુલવાનો સમય સવારે 5:00 વાગે, મંગલા આરતી સવારે 5:45 વાગે, શણગાર આરતી સવારે 8:00 વાગે અને રાજભોગ સવારે 9:00 વાગે રહેશે, ત્યારબાદ મંદિર બંધ થશે. રાજભોગ આરતી સવારે 9:45 વાગે થશે. ઉત્થાપન (મંદિર ખુલશે) બપોરે 12:30 વાગે અને સંધ્યા આરતી બપોરે 1:30 વાગે થશે. મહત્વનું છે કે બપોરે 1:30 વાગ્યા બાદ રાત્રીના 8:30 સુધી ઠાકોરજીની આગળની ઝાળી બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળુઓ ઝાળીમાંથી દર્શન કરી શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગે થશે અને સાંજે 6:47 વાગે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ગ્રહણના બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને દર્શનનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:40 pm

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીનો હોળી સંદેશ:લાકડાં સાથે હૃદયના દોષો બાળી સુખી થવા આહ્વાન

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ હોળી પર્વ નિમિત્તે સંતવાણીમાં જણાવ્યું હતું કે, હોળી એ અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર લાકડાં બાળવાને બદલે હૃદયમાં રહેલા દોષોને બાળીશું તો જ સાચી સુખ-શાંતિ પ્રાપ્ત થશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી મનુષ્યમાં કામ, ક્રોધ જેવા દોષો પ્રવર્તે છે, ત્યાં સુધી હૃદય તપેલું રહે છે અને શાંતિ મળતી નથી. આંતરિક શાંતિ માટે આ દોષોનો ત્યાગ અનિવાર્ય છે. ક્રોધને જીતવા માટે તેમણે કેટલાક ઉપાયો સૂચવ્યા. જ્યારે ક્રોધ આવે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવું, જે વ્યક્તિને કારણે ક્રોધ આવ્યો હોય તેનાથી દૂર જતું રહેવું અને ઊંધા આંકડા ગણવા (જેમ કે ૧૦, ૯, ૮...) જેવા સરળ ઉપાયો અપનાવવાથી ક્રોધથી બચી શકાય છે. તેમણે સમજાવ્યું કે ક્રોધ ક્ષણજીવી હોય છે, પરંતુ તેના પરિણામો લાંબા સમય સુધી રહે છે. તેથી, ક્રોધ પર નિયંત્રણ મેળવવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવી જ રીતે, મનુષ્યે પોતાના તમામ દોષોને ટાળવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:39 pm

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દાદાને હોળીનો દિવ્ય શણગાર:એમ્બ્રોઇડરી વાઘા અને ગુલાબના ફૂલોથી સિંહાસન શણગારાયું

સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હોળી પર્વ નિમિત્તે દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ યાત્રાધામમાં 2 માર્ચ, 2026, સોમવારના રોજ આ શણગાર કરાયો હતો. આયોજન સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ થયું હતું. દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તેમના સિંહાસનને ગુલાબના ફૂલો અને રંગબેરંગી કાપડથી સજાવવામાં આવ્યું હતું. સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદાને રંગો અને પીચકારીઓ પણ અર્પણ કરવામાં આવી હતી. મંદિર અને તેના પરિસરને પણ રંગબેરંગી ફૂલો અને કાપડનો ઉપયોગ કરીને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. હજારો હરિભક્તોએ આ દિવ્ય દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આગામી 3 માર્ચ, 2026ના રોજ, એટલે કે પૂર્ણિમાના દિવસે, હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને વિશેષ શણગાર કરાશે. આ ઉજવણીમાં સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો (જેમ કે ગુલાબી, લાલ, પીળો, નારંગી) નો ઉપયોગ કરીને દિવ્ય રંગોત્સવ મનાવવામાં આવશે. આ રંગોત્સવની પૂર્વ તૈયારીઓમાં અનેક ભક્તો સેવામાં જોડાયા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:38 pm

શ્યામજી કૃષ્ણ વર્મા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ:રમન ઇફેક્ટની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક શાળા નંબર-117 માં ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ વિજ્ઞાનના મહત્વ અને તેનાથી થતા લાભો વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે ઉજવાય છે. આ દિવસ મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા 'રમન ઇફેક્ટ'ની શોધની યાદમાં ઉજવવામાં આવે છે. આ શોધ માટે તેમને ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન પ્રદર્શન, ભાષણ સ્પર્ધા, પ્રશ્નોત્તરી (ક્વિઝ) અને સેમિનારનો સમાવેશ થાય છે.આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને જિજ્ઞાસા કેળવવાનો છે. તેમજ દેશના વિકાસમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ આ દિવસનો ઉદ્દેશ્ય છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:37 pm

આર.સી. કોલેજ કવચ કેન્દ્ર દ્વારા સાયબર સુરક્ષા તાલીમ:વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અને ઓનલાઇન સ્કેમથી બચવા માર્ગદર્શન અપાયું

આર.સી. કોલેજ ઓફ કોમર્સના કવચ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, ૫૦ વિદ્યાર્થીઓએ નરોડા સ્થિત સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સંસ્થાની ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ (બુધવાર) ના રોજ શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાયબર સુરક્ષા વિષય પર વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં Prakshware Technologies ના એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલોપર હિતેશ કાછેલાએ નિષ્ણાત તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ કાર્યક્રમ બે સેશનમાં વહેંચાયેલો હતો. પ્રથમ સેશનમાં સાયબર સુરક્ષાનું મહત્ત્વ, સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો અને બજારમાં પ્રચલિત ઓનલાઇન સ્કેમ્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બીજા સેશનમાં વિદ્યાર્થીઓને સાયબર કાયદાઓ, સાયબર ક્રાઇમ સામે લેવા જરૂરી જાગૃતિના પગલાં અને ગુજરાત સરકારના સાયબર સેલના કાર્યો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કવચ કેન્દ્રના કોઓર્ડિનેટર પ્રા. ડૉ. પરિમલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો અને સમાજમાં સાયબર ગુનાઓ સામે સચેતતા ફેલાવવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો છે. કોલેજના આચાર્ય ડૉ. સાગર દવેએ આ કાર્યક્રમના આયોજન અને સફળતા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:36 pm

રવિશંકર મહારાજ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓએ મોડેલ, ક્વિઝ, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો

શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની દ્વિદિવસીય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ દિવસે શાળાના વિજ્ઞાન શિક્ષક આરતીબેન સારંગે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ, ડૉ. સી. વી. રામનનો પરિચય અને રામન અસર વિશે સમજ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આકર્ષક વિજ્ઞાન થીમ આધારિત રંગોળી બનાવી હતી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ વચ્ચે મોડેલ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં એકમેકથી ચડિયાતા વર્કિંગ મોડેલ બનાવવામાં આવ્યા હતા અને ત્રણ શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી. પ્રથમ દિવસના અંતે CRC-1 ની તમામ શાળાઓ વચ્ચે આંતરશાળા ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૮ ની વિદ્યાર્થીઓ શેખ સિફા, વાઘેલા પૂજા, પ્રજાપત અશ્માની, નિષાદ શિવાની અને બથવાર રૂત્વાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને ટ્રોફી તથા મેડલ મેળવ્યા હતા. તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં 'રોજિંદા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ', 'સર સી. વી. રામનનું જીવન કવન' અને 'વિજ્ઞાન ક્ષેત્રે ભારતીય મહિલા વૈજ્ઞાનિકોનું યોગદાન' જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. શેખ સિફા, વર્મન દિપાલી અને રાઠોડ હનીશાકંવરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને “રામન અસરની પ્રયોગશાળા થી જીવન સુધીની અસર” વિડીયો બતાવી રામન અસર અને તેના ઉપયોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ધોરણ ૭ ના વિદ્યાર્થીઓએ AIF કીટની મદદથી વિવિધ નમૂના તૈયાર કરી તેનું વિસ્તૃત સમજૂતી આપી હતી. આ દ્વિદિવસીય કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય રોશનીબેન ટેલરના માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષકો શ્રીમતી વર્ષાબેન પટેલ અને શ્રીમતી આરતીબેન સારંગે કર્યું હતું. આચાર્ય શ્રીમતી રોશનીબેન ટેલરે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:34 pm

દુધરેજ વડવાળા ધામમાં શીતલ ગૌશાળાનું લોકાર્પણ:3 લાખ શ્રદ્ધાળુ ઉમટ્યા, 250થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા

દુધરેજ વડવાળા ધામમાં વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 'હોળી મહોત્સવ 2026' અને 'શીતલ ગૌશાળા'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 2 માર્ચ, 2026 સોમવારે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય અને મોરારીબાપુ સહિત 250થી વધુ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દુધરેજનું વડવાળા દેવનું મંદિર સમગ્ર વિશ્વમાં માલધારી અને રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી જગ્યા પર 800 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. ફાગણ સુદ પૂનમના દિવસે વડ રોપવામાં આવ્યો હતો, જેને માલધારી સમાજની દીકરીઓએ ગાયનું દૂધ પાઈને ઉછેર્યો હતો. દૂધના અભિષેકથી વડ ઉછેરવામાં આવ્યો હોવાથી ગામનું નામ દુધરેજ પડ્યું હોવાનું મનાય છે. દર વર્ષે હોળીના દિવસે વડવાળા મંદિરનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. નીરામદાસજી બાપુની સ્મરણાર્થે નૂતન 'શીતલ ગૌશાળા'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જગદગુરુ શંકરાચાર્ય દ્વારકા, રામાનંદાચાર્ય, મોરારીબાપુ સહિત ભારતભરના 250થી વધુ મહામંડલેશ્વરો, સંતો-મહંતો તેમજ સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં સમગ્ર ભારતભરમાંથી રબારી સમાજ, અન્ય સમાજ અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા મુજબ, 2 માર્ચે સવારે 8:30 કલાકે મહાયજ્ઞ, સવારે 10:30 કલાકે ગૌશાળાનું લોકાર્પણ અને 11:00 કલાકે ધર્મસભા યોજાઈ હતી. બપોરે 3:30 કલાકે સન્માન સમારંભ, સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે 6:30 કલાકે હોલિકા દહન કરવામાં આવશે. ત્યાર બાદ સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી અને રાત્રે 9:00 કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. 3 માર્ચ, 2026 મંગળવારના રોજ સવારે 9:00 કલાકે નૂતન ધ્વજા આરોહણ અને બપોરે 12:00 કલાકે ફુલડોલ આરતી તેમજ ધુળેટી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. મહાપ્રસાદ માટે એક સાથે બે લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહાપ્રસાદમાં 50,000 લિટર દૂધ, 24,000 કિલો મોહનથાળ, 15,000 કિલો ટોપરાપાક, 6,000 કિલો ગાંઠિયા, 5,000 કિલો ખમણ, 500 ડબ્બા શુદ્ધ ઘી, 1,200 ડબ્બા તેલ, 12,000 કિલો ખાંડ, 22,000 કિલો ચોખા, 8,000 કિલો તુવેર દાળ અને 30,000 કિલો ઘઉંના લોટનો સમાવેશ થતો હતો. આ ભવ્ય વ્યવસ્થામાં 350થી વધુ રસોઈયા અને 20,000થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું હતું. વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 1 માર્ચ અને 2 માર્ચના રોજ ખોડું-દુધરેજવાળા રસ્તા પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં દુધરેજથી નગરા ખોડુ તથા તે રૂટ પર ગામો ભારે વાહનોને મૂળી તરફથી જવાનું રહેશે. નગરા ખોડુ તથા તે રૂટ ઉપર ચાલતા તમામ વાહનોને નગરા દાણાવાળા ગોદાવરીથી સુરેન્દ્રનગર દુધરેજ આવવાનું થશે. મહંત કનીરામદાસજી બાપુને અતિ પ્રિય ગણાતી શીતલ ગાયના સ્મરણાર્થે 10 એકર જમીનમાં ગૌશાળા બંધાવવામાં આવી છે. આ શીતલ ગાય છ મહિનાની હતી ત્યારથી જ્યાં સુધી પોતાનું જીવન જીવી ત્યાં સુધી કનીરામદાસજી બાપુની સાથે જ રહેતી અને તેની સાથે અનેક યાદો પણ કનીરામદાસજી બાપુની જોડાયેલી છે. બાપુની પ્રિય ગાય હતી. 2017માં દેવલોક થઈ ગઈ ત્યારે, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળવા પામ્યું હતું. હવે તેની યાદમાં બાપુએ ગૌશાળા બંધાવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 2:22 pm