અમદાવાદથી પાલનપુર જતા એક પરિવારને મહેસાણા નજીક અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. શંકુઝ વોટરપાર્ક ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી એસ.ટી. બસે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર ચાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે રિક્ષાચાલકે લાઘણજ પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદથી રિક્ષા લઈ પરિવાર પાલનપુર જવા નીકળ્યોઅમદાવાદમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રાકેશભાઈ પટણી શુક્રવારે સવારે પોતાની રિક્ષા લઈને પરિવારના સભ્યો સાથે અમદાવાદથી પાલનપુર જવા નીકળ્યા હતા. સવારના પોણા દસેક વાગ્યાના સુમારે તેમની રિક્ષા મહેસાણાના શંકુઝ વોટરપાર્ક ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન પાછળથી આવતી એસ.ટી. બસનંબર GJ-18-ZT-0161 ના ચાલકે પોતાની બસ ગફલતભરી રીતે હંકારી રિક્ષાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યો ઇજાગ્રસ્તઆ અકસ્માતને પગલે રિક્ષામાં બેઠેલા નરેન્દ્રભાઈ પટણી, સીતાબેન પટણી, રોશનીબેન અને વિશટભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તરત જ ઈજાગ્રસ્તોને 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે રિક્ષાચાલક રાકેશભાઈનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. પોલીસે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હાલમાં તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. લાઘણજ પોલીસે રિક્ષાચાલકની ફરિયાદના આધારે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં હાપા રોડ પર દારૂ ઝડપાયો:પોલીસનો પીછો કરતા ચાલક કાર છોડી ફરાર
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસને જોઈને કારચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે આશરે ચાર વાગ્યાના સુમારે હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એક શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોતા જ કારચાલક વાહનમાંથી ઉતરીને રાત્રીના અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. પોલીસે રેઢી પડેલી કારની તલાશી લેતા તેમાંથી ૧૪ પેટીમાં કુલ ૧૬૮ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા ૧૦ લાખની કિંમતની GJ-3 MH-4590 નંબરની કિયા સેલ્ટોસ કાર અને રૂપિયા ૮૪,૦૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે વાહનના નંબરના આધારે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં સિનિયર સિટીઝન અને વૃદ્ધ નાગરિકોને સાયબર ગઠિયાઓ ડિજિટલ એરેસ્ટ માટે સતત ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે વધુ એક વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. વૃદ્ધને સાયબર ગઠિયાઓએ મની લોન્ડરીંગ કેસમાં નામ હોવાનું કહીને 9.40 લાખ રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધ બીજા 6 લાખ ટ્રાન્સફર કરવા ગયા ત્યારે બેંક મેનેજરે તેમને ટ્રાન્સફર કરતા અટકાવ્યા અને તેમની સાથે થયેલા ફ્રોડ અંગે જાણ કરી હતી. જેથી વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ‘નરેશ ગોયલના 500 કરોડમાં ફ્રોડમાં તમારું નામ છે’સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા 81 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની સાથે નિવૃત્ત જીવન ગુજારે છે. વૃદ્ધને સંતાનમાં ત્રણ દીકરા છે. ત્રણેય વિદેશમાં રહે છે. 3 ફેબ્રુઆરીના રોજ વૃદ્ધને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે. જે બાદ વોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો હતો. જેમાં વાતચીત કરનાર વ્યક્તિઓ પોતે મુંબઈ પોલીસથી બોલતા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે નરેશ ગોયલે કરેલા 500 કરોડમાં ફ્રોડમાં તમારું નામ છે. તેની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. ‘તમારી આસપાસ સિવિલ ડ્રેસમાં માણસો ફરે છે’આ એક સિક્રેટ છે જેથી તમે તમારા ફેમિલી અને બાળકોને જણાવશો નહીં. તમારું નામ મની લોન્ડરિંગ કેસમાં છે જેથી તમારી સામે એરેસ્ટ વૉરંટ ઇશ્યૂ કરેલું છે, પરંતુ તમે વૃદ્ધ છો જેથી તમને એરેસ્ટ કરવામાં નહીં આવે તમે તપાસમાં સહકાર આપજો. તમારી આસપાસ સિવિલ ડ્રેસમાં માણસો ફરે છે. તમે પૂછ્યા વગર ક્યાંય જશો નહીં અને પરમિશન વગર તમે વોકિંગ માટે પણ નહીં જઈ શકો. બેંક મેનેજરે વૃદ્ધને સાયબર ફ્રોડની જાણ કરીવૃદ્ધને ડરાવીને વૃદ્ધ પાસેથી તેમના બેંકની વિગત મેળવી લીધી હતી.જેમાં વૃદ્ધને તેમના બેંકમાંથી 6.50 લાખ અને 2.90 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા વૃદ્ધે ટ્રાન્સફર કર્યા હતા. વૃદ્ધ પાસેથી 6 લાખનું બીજું RTGS કરવાનું કહેતા વૃદ્ધ બેંકમાં ટ્રાન્સફર કરવા ગયા ત્યારે બેંક મેનેજરને શંકા ગઈ હતી.બેંક મેનેજરે તપાસ કરી ત્યારે વૃદ્ધ સાથે ફ્રોડ થયા હોવાની વૃદ્ધને જાણ કરી હતી.આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
ભારતીય જૈન સંગઠન (BJS), સુરત દ્વારા આગામી 8 ફેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 7:00 વાગ્યે એક ભવ્ય હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતેથી આ દોડનો પ્રારંભ થશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ “સ્માર્ટ ગર્લ – સ્માર્ટ નેશન”ની ભાવના સાથે દીકરીઓ અને મહિલાઓને સશક્ત તેમજ પ્રોત્સાહિત કરવાનો છે. મેરેથોન રૂટ અને સહભાગીઓ આ મેરેથોનમાં 2 કિલોમીટર અને 5 કિલોમીટરની બે અલગ-અલગ શ્રેણીઓ રાખવામાં આવી છે. આ દોડ ભગવાન મહાવીર યુનિવર્સિટી ગ્રાઉન્ડથી શરૂ થઈ અગ્રવાલ વિદ્યાવિહાર (2nd VIP રોડ) ચાર રસ્તા થઈ પરત યુનિવર્સિટી સુધી યોજાશે. આ આયોજનમાં અંદાજે 4,000 થી 5,000 જેટલી બાળાઓ અને મહિલાઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી પોતાની સહભાગિતા સુનિશ્ચિત કરી છે. મહાનુભાવોની ઉપસ્થિતિઆ ગરિમામય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારશે. આ ઉપરાંત સુરત શહેરના અનેક અગ્રણી મહાનુભાવો પણ હાજર રહી કાર્યક્રમની શોભા વધારશે. માત્ર મહિલાઓ માટેની આ વિશેષ મેરેથોનને લઈને સુરતના નારી શક્તિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્યનું સૌથી સુરક્ષિત માનવામાં આવતું ગાંધીનગર સચિવાલય હાલ એક વિવાદાસ્પદ વીડિયોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જ્યાં સામાન્ય નાગરિકોને પ્રવેશ મેળવવા માટે કડક તપાસ અને ગેટ પાસની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, ત્યાં પોલીસની સરકારી ગાડીમાં એક યુવતીના રીલ્સ અને 'સીન-સપાટા' સામે આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.આ કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા ગાંધીનગર એસપી ધ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપી દેવાયા છે. આ અંગે ગાંધીનગર એસપીએ વધુમાં જણાવ્યું કે તપાસ દરમિયાન આ ગાડી જુના સચિવાલયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટની હોવાનું સામે આવ્યું છે. આમાં જે ડ્રાઇવર દેખાય છે તે હોમગાર્ડ છે. પોલીસ કોન્સ્ટેબલ આ ઘટનામાં નથી. તેમ છતાં આ યુવતી કોણ છે તેની તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. ગાંધીનગર સચિવાલયમાં પોલીસની સરકારી ગાડીનો ઉપયોગ 'રીલ્સ' બનાવવા માટે થતા પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. ખાખી વર્દી અને સરકારી ગાડીની ગરિમાને લજવતો આ કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સચિવાલયના સંકુલમાં ઉભેલી પોલીસની બોલેરો જીપમાં એક યુવતી ફિલ્મી અંદાજમાં સીન-સપાટા કરી રહી છે. સામાન્ય રીતે જે સંકુલમાં સામાન્ય નાગરિકોને પ્રવેશ માટે કડક પૂછપરછ અને ગેટ-પાસની જરૂર પડે છે.ત્યાં આ યુવતીએ સરકારી વાહન સાથે આરામથી શૂટિંગ કર્યું તે સુરક્ષા એજન્સીઓ સામે મોટો સવાલ છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર આવતા જ શું પોલીસની ગાડીઓ હવે રીલ્સ બનાવવા માટે ફાળવવામાં આવે છે? તેવા તીખા સવાલો જનતા પૂછી રહી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આ સરકારી ગાડી જે-તે પોલીસ કોન્સ્ટેબલની ફરજ હેઠળ સોંપવામાં આવી હતી. પોલીસકર્મીએ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી સરકારી મિલકતનો ખાનગી ઉપયોગ કરવા દીધો હોવાનું જણાય છે. એસપીએ જણાવ્યું કે, વાયરલ વીડિયોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. હાલ કોઈને સસ્પેન્ડ નથી કરાયા પણ તપાસ બાદ કડક શિસ્તભંગના પગલાં લેવાશે. પોલીસ વિભાગમાં આ ઘટનાને લઈને ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકારી સંસાધનો જ્યારે મનોરંજનનું સાધન બની જાય ત્યારે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતા ઓછી થતી દેખાય છે. સચિવાલય જેવા હાઈ-પ્રોફાઈલ સ્થળે સુરક્ષાના નામે માત્ર મીંડું હોય તેવું આ વીડિયો પરથી પ્રતીત થાય છે .આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ઘેલછામાં સરકારી કર્મચારીઓ પોતાની મર્યાદાઓ ભૂલી રહ્યા છે, જેની સીધી અસર વહીવટી તંત્રની વિશ્વસનીયતા પર પડે છે.
આજથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના કોલેજ કેમ્પસમાં માહોલ જામ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કર પણ પહોંચ્યું હતું યંગ અમદાવાદીઓની ફિલિંગ જાણવા. કેટલાક યંગસ્ટર્સે કહ્યું કે અમને મળેલું પહેલું ગુલાબ અમે હજુ પણ સાચવી રાખ્યું છે, તો કેટલાકે કહ્યું કે મારે તો કેરિયર પર ફોક્સ કરવું છે. રોઝ મળ્યું કે નહીં પૂછતાં જ યંગ અમદાવાદીઓ શરમાઈ ગયા. કોલેજિયને કેવા-કેવા જવાબ આપ્યા જાણવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો.
ગીર સોમનાથ જિલ્લાના નાવદ્રા અને ઇન્દ્રોય ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના સતત આંટાફેરા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો માટે ભયનું કારણ બની રહ્યા હતા. ખેતીવાડી વિસ્તારમાં રાત્રીના સમયે દીપડાની હાજરીને કારણે પશુધન અને માનવ સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વન વિભાગે સતર્કતા દાખવી હતી. નાવદ્રા ગામના દાનાભાઈ વાઢેરની વાડીમાં વન વિભાગ દ્વારા ગત રાત્રીના સમયે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની આ કાર્યવાહી ગત મધ્યરાત્રીના સમયે સફળ સાબિત થઈ, જ્યારે એક માદા દીપડી પાંજરે પુરાઈ ગઈ. દીપડી પાંજરે પુરાઈ હોવાની જાણ થતાં જ ખેડૂત દ્વારા વન વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. જેના પગલે વેરાવળ રેન્જના ઇન્ચાર્જ RFO વઘાસીયાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર ડી.બી. ચૌધરી, પ્રતાપભાઈ સહિતના વન વિભાગના કર્મચારીઓની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે સતર્કતા અને કુશળતાથી દીપડીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં પાંજરે પુરાયેલી દીપડી એકથી બે વર્ષ વયની માદા હોવાનું સ્પષ્ટ થયું છે. વન વિભાગના જણાવ્યા મુજબ આ દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં વેટરનરી તબીબો દ્વારા તેનું મેડિકલ પરીક્ષણ તથા જરૂરી સારવાર કરવામાં આવશે. દીપડીની તબિયત સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ યોગ્ય સમયે તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. નાવદ્રા ગામના યુવા અગ્રણી રાણાભાઈ ચુડાસમા સહિત સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ નાવદ્રા–ઇન્દ્રોય ગામની સીમ વિસ્તારમાં હજુ પણ અંદાજે ચારથી પાંચ દીપડાઓના આંટાફેરા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે દીપડી પાંજરે પુરાતાં ગામમાં શાંતિનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં આંશિક રાહત જોવા મળી હતી. તથાપિ ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ અન્ય દીપડાઓ વિસ્તાર આસપાસ ફરતા હોવાથી ખેતી, પશુપાલન અને માનવજીવન માટે ભય યથાવત છે. ખાસ કરીને રાત્રીના સમયે ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક ખેડૂતોએ બાકી રહેલા દીપડાઓને પણ વહેલી તકે પાંજરે પુરવામાં આવે અને વિસ્તારમાં કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ વન વિભાગ સમક્ષ કરી છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા, રાત્રીના સમયે એકલા ખેતરમાં ન જવા તથા કોઈ પણ શંકાસ્પદ હલચલ દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબીમાં રિક્ષાના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ:પોલીસે ચાલકને પકડી ગુનો નોંધી કાર્યવાહી કરી
મોરબીમાં રિક્ષાના જોખમી સ્ટંટના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વીડિયો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રિક્ષાચાલકને પકડી પાડી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલા વીડિયોમાં એક રિક્ષા મોરબીના સર્કિટ હાઉસ પાસે સર્વિસ રોડ પર 'ડાન્સ' કરતી જોવા મળી હતી, જ્યારે અન્ય એક વીડિયોમાં એલ.ઇ. ગ્રાઉન્ડમાં ડ્રાઈવર વગર રિક્ષા ફરતી દેખાઈ હતી. પોલીસે રિક્ષા નંબર GJ 36 W 3563 ના ચાલક કિશનભાઈ પોપટભાઈ કુંઢીયા (ઉં.વ. 21, રહે. વેજીટેબલ રોડ, ભીમસર મફતીયા પરા, મોરબી) ને ઝડપી પાડ્યો હતો. સોશિયલ મીડિયા પર લાઈક અને વ્યુઝ મેળવવા માટે યુવાનો ઘણીવાર આવા જોખમી સ્ટંટ કરતા હોય છે. અગાઉ પણ મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બાઈકના સ્ટંટ કરતા વીડિયો સામે આવ્યા હતા, જેના પર પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે, આવા જોખમી સ્ટંટ કરનારાઓ પર સંપૂર્ણપણે બ્રેક લાગી નથી.આ તાજેતરના કિસ્સામાં, મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક કિશનભાઈ કુંઢીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી હવે નવીનતમ સ્વરૂપે ઝળહળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે (7 ફેબ્રુઆરી) અંબાજી ખાતે શક્તિપીઠના કાયાકલ્પ સમાન ₹950 કરોડના ‘શક્તિ કોરિડોર’ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ભવ્ય ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટથી અંબાજી માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વ કક્ષાના આધુનિક યાત્રાધામ તરીકે ઉભરી આવશે. શક્તિપીઠમાં પૂજા-અર્ચના સાથે શુભારંભમુખ્યમંત્રી આજે સવારે અંબાજી નજીકના ચીખલા હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ મોટર માર્ગે સીધા અંબાજી મંદિર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી, વિધિવત પૂજા-અર્ચના કરી ગુજરાતની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી અને તેમની સાથે આવેલા મંત્રીમંડળના સભ્યોનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. કડક સુરક્ષા બંદોબસ્તમુખ્યમંત્રીના પ્રવાસ અને પ્રોજેક્ટના મહત્વને જોતા બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હેલિપેડથી મંદિર સુધીના માર્ગ પર પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો.
જયરાજ આહીર સાંજ સુધીમાં જેલ મુક્ત થઈ શકે:બગદાણા ચકચારી પ્રકરણમાં વધુ 6 આરોપીના જામીન મંજૂર
બગદાણા ચકચારી પ્રકરણમાં જયરાજ આહીર સહિત 6 આરોપીના આજે (7 ફેબ્રુઆરી) મહુવા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ મહુવા કોર્ટે જયરાજ આહીર સહિત 6 શખસની શરતી જામીન અરજી મંજુર કરી છે. સાંજ સુધીમાં જયરાજ જેલમાંથી મુક્ત થઈ શકે છે. નવનીત બાલધિયા પર હુમલો કરવના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. જેમા આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
અમદાવાદના સંતાન વિહોણા દંપતીએ મ્યુનિસિપલ જન્મ નોંધણીમાં પોતાના ભત્રીજાને પોતાનો પુત્ર દર્શાવવામાં આવ્યો હોવાની જાણ થતાં 13 વર્ષ સુધી કોર્ટમાં કાયદાકીય લડત લડી હતી. આ ગડબડ 2012માં બહાર આવી હતી, પરંતુ 2013માં દાખલ કરાયેલ કેસનો ચુકાદો તાજેતરમાં આવ્યો છે, ત્યારે વિવાદમાં દર્શાવાયેલ બાળક હવે 30 વર્ષનો યુવાન થઈ ચૂક્યો હતો. ભાઈ-ભાભીએ મંજૂરી વગર પુત્રના માતા-પિતા તરીકે અરજદારનું નામ લખાવ્યુંફરિયાદી દંપતીના કેસની વિગત એવી છે કે, 21 સપ્ટેમ્બર, 2012ના રોજ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં ગયા, ત્યારે તેમને આશ્ચર્ય થયું કે ઓક્ટોબર, 1996માં જન્મેલા બાળકના માતા-પિતા તરીકે તેમના નામ નોંધાયેલા હતા. દંપતીએ દાવો કર્યો હતો કે, બાળક હકીકતમાં તેમના મોટા ભાઈ અને ભાભીનો જૈવિક પુત્ર છે. દંપતીએ કોર્ટમાં જણાવ્યું હતું કે બાળકના જન્મની નોંધણી વખતે મોટા ભાઈ અને ભાભીએ જાણી જોઈને અને તેમની મંજૂરી વગર તેઓના નામ પિતા-માતા તરીકે દાખલ કરાવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે, અરજદારનું સંતાન ન હોવાના કારણે તેમની મિલકત પર કબજો મેળવવાના ઉદ્દેશ્યથી આ રીતે ખોટી નોંધ કરવામાં આવી હતી. દાવામાં આ કૃત્યને ઈરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ ગણાવી મિલકત હડપવાની કોશિશ હોવાનું જણાવાયું હતું. મોટા ભાઈએ ભૂલ સ્વીકારી ભૂલ સુધારવા કહ્યું હતુંવિવાદમાં એક પાસું એ પણ હતું કે અરજદારના જણાવ્યું તેમના ભાઈ અને ભાભીએ તેમની સંતાનને દત્તક લેવા માટે તેમના પર દબાણ કર્યું હતું. તેમણે ઇનકાર કરતા ઝઘડો વધી ગયો. બાદમાં અરજદારોએ 2013માં શાહેરકોટડા પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી હતી. કોર્ટના રેકોર્ડ મુજબ એક તબક્કે બંને પક્ષો અને 7 સાક્ષીઓએ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જેમાં મોટા ભાઈએ નાનાભાઈ અને તેમની પત્નીના નામ ખોટી રીતે બાળકના માતા-પિતા તરીકે નોંધાવ્યા હોવાનું સ્વીકાર્યું હતું અને તે ભૂલ સુધારવાની ખાતરી આપી હતી. માતા-પિતાએ કોર્ટમાં કોઈ લેખિત જવાબ દાખલ કર્યો નહોતોઅરજદારોનો દાવો હતો કે, આ સુધારો ક્યારેય કરવામાં આવ્યો નહીં, જેના કારણે તેઓએ સિટી સિવિલ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો. દાવામાં તેમણે કોર્ટ પાસે સત્તાવાર જાહેરખબર- ડેક્લરેશનન સાથે માગ કરી હતી કે પ્રતિવાદી ભાઈ અને ભાભીનો પુત્ર અરજદારોનો નથી તેમ જાહેર કરે અને જન્મ પ્રમાણપત્રમાં તેમના નામ ગેરકાયદેસર રીતે અને મંજૂરી વગર દાખલ કરાયા છે. અરજદારોએ તેમના પક્ષને સમર્થન આપતા દસ્તાવેજો રજૂ કર્યા હતા. બીજી તરફ જૈવિક માતા-પિતાએ કોર્ટમાં કોઈ લેખિત જવાબ દાખલ કર્યો નહોતો, જે બાબત તેમના વિરોધમાં ગઈ હતી. કોર્ટે સ્વીકાર્યું હતું કે, ફરિયાદીઓના નામ જન્મ નોંધણીમાં મિલકત હડપવાના દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી ગેરકાયદેસર રીતે દાખલ કરાયા હતા. કોર્ટે અંતે આદેશ આપ્યો હતો કે, આ દાવો સફળ થયો છે અને જાહેર કરવામાં આવે છે કે પ્રતિવાદીઓના પુત્રના પિતા અને માતા તરીકે અરજદારોના નામ ગેરકાયદેસર રીતે દાખલ કરાયા છે, કારણ કે ખરેખરમાં અરજદારો તેના જૈવિક માતા-પિતા નથી.
મરોલી ચાર રસ્તા પાસે અકસ્માત:108 ટીમે NRI વૃદ્ધના 7 લાખના દાગીના-રોકડ પરત કર્યા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ચાર રસ્તા પર શુક્રવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા અમેરિકા સ્થિત NRI દર્દીને 108ની ટીમે ત્વરિત સારવાર આપી જીવ બચાવ્યો હતો. આ સાથે ટીમે દર્દીની લાખોની કીમતી વસ્તુઓ સુરક્ષિત રાખી પરિવારને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મરોલી ચાર રસ્તા પર અકસ્માત થતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ એમ્બ્યુલન્સ માત્ર 5 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દર્દી ગંભીર હાલતમાં હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા દર્દી મૂળ અમેરિકાથી આવ્યા હતા. તેઓ ગણદેવીથી સુરત પોતાના પુત્રની વહુના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માત સમયે તેમની પાસે કોઈ સગા-સંબંધી હાજર નહોતા. દર્દી પાસે રૂ. 5 લાખની કિંમતના સોનાના ઘરેણાં (ગોલ્ડ ચેન, બ્રેસલેટ અને વીંટી), આશરે રૂ. 1.50 લાખની કિંમતનો iPhone 17 Pro અને રૂ. 50,000 રોકડા હતા. આ ઉપરાંત તેમની પાસે મોપેડ બાઈકની ચાવી પણ હતી. કુલ મળીને રૂ. 7,00,000 થી વધુની મતા તેમની પાસે હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ 108ની ટીમે દર્દીના ભાઈના પુત્ર મયુરભાઈનો સંપર્ક કર્યો હતો. મયુરભાઈ હોસ્પિટલ પહોંચતા જ 108ની ટીમે તમામ ઘરેણાં, રોકડ રકમ અને આઈફોન રૂબરૂમાં તેમને સોંપી દીધા હતા. દર્દીના પરિવારે 108ની ટીમની આ ત્વરિત કામગીરી અને પ્રામાણિકતાની ભારે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
વાપી GIDCની મોડીસન લિમિટેડમાં ભીષણ આગ:પાંચ ફાયર ગાડીએ એક કલાકમાં કાબૂ મેળવ્યો
વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલી મોડીસન લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ પર ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓએ એક કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કંપનીના યુનિટ 01 બિલ્ડીંગના પહેલા અને બીજા માળે લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગ મશીનરીમાં લાગી હતી, જેના કારણે ભારે ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી GIDC ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. વાપીના ફાયર ઓફિસર વી.જી. ચાવડાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગ પર સમયસર કાબુ મેળવી લેવાયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈને ઈજા થઈ નથી.
ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ
BMC Mayor news : મુંબઈની બૃહ્નમુંબઈ મહાનગર પાલિકા (BMC) માં મેયર પદને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. ભાજપના રિતુ તાવડે મેયર પદ માટે આજે નોમિનેશન ફાઈલ કરશે. જ્યારે ડેપ્યુટી મેયરનું પદ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને મળશે.
રાજકોટ શહેરમાં વ્યાજખોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કેવડાવાડી પાસે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમિતભાઈ અરવિંદભાઈ તન્ના (ઉ.વ. 40)એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ભૂત બનીને વ્યાજખોરો પાસેથી હિસાબ લઇશઆ ઘટનામાં ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ કરતા મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી અને તેમાં વ્યાજખોર જયદીપ દિનેશભાઈ મૈયડ અને પ્રવિણભાઈ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેના મોબાઈલમાંથી એક વીડિયો પણ મળી આવ્યો હતો જેમાં તે મેલડી માતાજીના મંદિરમાં બેસી ભૂત બનીને વ્યાજખોરો પાસેથી હિસાબ લઇશ તેવું જણાવ્યું હતું. આ ઘટનામાં ભક્તિનગર પોલીસ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના ઓસારા ગામે મહાકાળી મંદિર સામે આવેલા પડાવમાંથી ચાર દિવસ અગાઉ થયેલી બાઇક, મોબાઇલ અને રોકડ રકમની ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ એલ.સી.બી. પી.આઈ. એમ.પી. વાળાની સૂચના મુજબ, પીએસઆઈ વી.પી. મલ્હોત્રાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, ટીમે હલદરવા ગામના પાદર વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરની હીરો કંપનીની મોટરસાયકલ સાથે ભાયા ઉર્ફે રણજીત હિમ્મત મેડા અને નીહાલસિંગ હારુ મચ્છાર નામના બે શંકાસ્પદ ઇસમોને પકડ્યા હતા. તપાસ દરમિયાન, બાઇક અંગે આધાર પુરાવા રજૂ ન કરી શકતા, બંનેને નબીપુર પોલીસ સ્ટેશન લઈ જઈ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ ઓસારા મહાકાળી મંદિર સામે કેનાલ પાસે આવેલા પડાવમાંથી બાઇક, બે મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત, આરોપીઓએ હલદરવા નજીક સાઈ ગાર્ડન સોસાયટી અને કેમાતુર કંપની પાસેના પડાવમાંથી પણ મોબાઇલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની બાઇક, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 64,670 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે નબીપુર પોલીસને સોંપવામાં આવ્યા છે.
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા યુવક પોતાની કાર લઈને જતા સમયે રિક્ષા સામે આવતા રિક્ષા ચાલકને યોગ્ય રીતે ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી. યુવક ફુલસરના ઠાકર દ્રારા પાસે લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન ચાર શખસોએ યુવકને ધોકાના ઘા મારી કારના કાચ તોડી નાંખ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સમગ્ર મામલે બોરતળાવ પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 4 શખસ સામે ફરિયાદઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનથી મળતી માહતી અનુસાર ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં મસ્તરામ બાપાના મંદિર પાસે રહેતા મનિષભાઈ બટુકભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ મથકમાં ફુલસર વિસ્તારના રાહુલ અલગોતર, રવિ અલગોતર, મહેશ ભરવાડ અને માધો ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી. રિક્ષા સરખી ચલાવવાનું કહેતા માથાકૂટ થઈ5 ફેબ્રુઆરી, 2026એ સાંજના ફરિયાદી પોતાની કાર લઈને જતા હતા. ત્યારે મસ્તરામ બાપાના મંદિર સામે એક રિક્ષા ચાલકે સામે રિક્ષા ચલાવતા તેને સરખી ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી રાત્રિના તેઓ શહેરના ફુલસર વિસ્તારના ઠાકરદ્વારા પાસે સરકારી સ્કૂલ આગળ લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે ચારેય શખસે આવી તે કેમ અમારી રિક્ષા ઉભી રખાવી તેમ કહી તેના પર હુમલો કરી ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. ‘હવે અમારા રિક્ષાવાળાને કંઈ કહીશ તો જાનથી મારી નાખીશું’બાદમાં શખસોએ ધમકી આપતા કહ્યું કે હવે પછી જો તું અમારા રિક્ષાવાળાને કંઈ કહીશ તો જાનથી મારી નાખીશુ. અને જતા-જતા કારના કાચ ફોડી નાખ્યા હતા. બોરતળાવ પોલીસે ગુનો નોંધ્યોજ્યારે આ બનાવના પગલે બોરતળાવ પોલીસે તમામ શખસો સામે BNS એક્ટ 117(2), 115(2), 351(3), 352, 54, તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટ શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તરામાં આવતા 5 વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે, તો બીજી તરફ વહેલી સવારથી હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. ગોંડલ ચોકથી કોઠારીયા તરફ વિસ્તારમાં જતી પાઇપલાઇનના વાલ્વમાં ભંગાણ થતા હજારો લીટર પાણી રસ્તા પર વેડફાય ગયું છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળતા ચોમાસાની ઋતુમાં વહેતા વરસાદી પાણી જેવા દૃશ્યો શિયાળાની ઋતુમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના 150 જેટલા વિસ્તારોમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. આ પાણી કાપ પાછળ મનપા દ્વારા મવડી (પુનિતનગર) પમ્પિંગ સ્ટેશન ખાતે મરામત અને ટેકનિકલ કામગીરી કરવાનું કારણ આપવામાં આવ્યું છે. વાલ્વમાં ભંગાણ થતા 9થી 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યાંરાજકોટ શહેરમાં વધુ એક વખત હજાર લીટર પાણીનો રસ્તા પર વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારના સમયે ગોંડલ ચોકથી કોઠારીયા વિસ્તાર તરફ જતી પાઇપલાઇનમાં વાલ્વમાં નુકસાની થતા હજારો લીટર પાણી રસ્તા પર વેડફાટ જોવા મળી રહ્યું છે. જેમાં વાલ્વમાં ભંગાણ થતા 9થી 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા થતા જોવા મળી હતા અને પાણી વેડફાય સર્વિસ રોડ પર ભરાઈ ગયું હતું જેના કારણે શિયાળાની ઋતુમાં વરસાદી પાણી ભરાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વહેલી સવારે ભંગાણ થયા બાદ કલાકો સુધી પાણીનો વેડફાટ ચાલુ રહ્યો હતો અને બાદમાં મનપા દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. એક જ સપ્તાહની અંદર બીજી વખત પાણીનો વેડફાટઆ અગાઉ થોડા દિવસ પહેલા એટલે કે ગત શનિવારના રોજ ઘંટેશ્વર વિસ્તારમાં પણ નવા કોર્ટ બિલ્ડિંગ સામે આવેલ પાણીના ટાંકામાં પણ વાલ્વમાં નુકસાન થતા ત્યાં પણ વહેલી સવારથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. આજે વધુ એક વખત ભંગાણ થતા એક જ સપ્તાહની અંદર બીજી વખત પાણીના વેડફાટના દૃશ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટ નર્મદા નીર પર આધારિત છે, કારણ કે સૌની યોજના મારફત નર્મદા નીર આજી અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજકોટવાસીઓને પાણી પૂરતું મળી રહે તે માટે મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. 5 વોર્ડમાં પાણી કાપઆજે રાજકોટ શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તાર હેઠળ આવતા વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના 150 જેટલા વિસ્તારોમાં લાખો લોકોને પાણી મળી રહ્યું નથી, કારણ કે મવડી (પુનિતનગર) પમ્પિંગ સ્ટેશન ખાતે GSR સફાઈની કામગીરી તથા જેટકો ફિલ્ટરપ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણનું કામ ચાલી રહ્યું છે. આ વિસ્તારોમાં મનપા દ્વારા અગાઉથી પાણીકાપની જાહેરાત કરવામાં આવી હતી.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગાર્ડન, ભૂગર્ભ ગટર યોજના, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, નવી પાણીની લાઈનો, ટોયલેટ બ્લોક અને કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રોજેક્ટની હાલની સ્થિતિ, પ્રગતિ અને ગુણવત્તાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આ બેઠક મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી. શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી ચાલી રહેલા પ્રોજેક્ટોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, વિવિધ કામોમાં આવતી અડચણો અને તેને દૂર કરવા માટેના જરૂરી સૂચનો પર પણ વિચારણા કરવામાં આવી હતી. તમામ એજન્સીઓ પાસેથી પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, સંબંધિત કોન્ટ્રાક્ટરો, પીએમસી, ટીપીઆઈ તેમજ મહાનગરપાલિકાની એન્જિનિયર બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. કમિશનર પ્રજાપતિએ ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને તમામ વિકાસ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને કામની ગુણવત્તા જાળવવા માટે કડક સૂચનાઓ આપી હતી. તેમણે શહેરના નાગરિકોને વહેલી તકે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે કામોમાં ઝડપ લાવવા પણ તાકીદ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે સતત સમીક્ષા કરીને કામગીરી કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા આગામી શિવરાત્રીના મિની કુંભ મેળા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાવિકોને જૂનાગઢ ભવનાથ પહોંચાડવા માટે પોરબંદરથી રાઉન્ડ ધ ક્લોક વધારાની બસો દોડાવવામાં આવશે. આ મેળો 11 ફેબ્રુઆરી 2025 થી 15 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે જૂનાગઢ ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળાને 'મિની કુંભ મેળો' જાહેર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા આ જીવ અને શિવના મિલનની અદ્ભુત ક્ષણોના સહભાગી બનવા માટેની તૈયારીઓ શરૂ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. આથી, પોરબંદર એસ.ટી. વિભાગ પણ જિલ્લાના ભાવિકોને વધારાની બસો મારફત ભવનાથ સુધી પહોંચાડવા સજ્જ બન્યું છે. પોરબંદર ડેપો મેનેજર પી.બી. મકવાણાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરાયું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં જશે. શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે હેતુસર સમગ્ર જૂનાગઢ વિભાગમાં કુલ 325 બસો દ્વારા વધારાનું સંચાલન હાથ ધરવામાં આવશે. પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તેમજ દેવભૂમિ દ્વારકાથી પણ જૂનાગઢ જવા માટે વધારાની બસો રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી મેળામાં જવા માટે પણ 24 કલાક મિની બસો મળશે. આ તકે પોરબંદર એસ.ટી. સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં આ વધારાની બસોનો લાભ લેવા તેમજ બસ સ્ટેશન અને બસોમાં સ્વચ્છતા જાળવવા નમ્ર અનુરોધ કર્યો છે.
અમદાવાદના જમાલપુરમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. મસ્જિદમાં નમાજ કરવા માટે આવેલા યુવકે બાળકને ધાબે લઈ જઈને બાળક સાથે કુકર્મ કર્યું હતું. બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી હતી. વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મસ્જિદના ધાબે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યજમાલપુરમાં આવેલી મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ માટે આવ્યો હતો. આ દરમિયાન કેટલાક બાળકો પણ મસ્જિદમાં આવ્યા હતા. નૌમાને આ દરમિયાન એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી જે બાદ બાળકને લાલચ આપીને મસ્જિદના ધાબે લઈ ગયો હતો. બાળકને ધાબે લઈ જઈને નૌમાને તકનો લાભ લઈને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જે બાદ બાળકને રવાના કરી દેતા બાળક નીચે આવ્યો હતો તે બાદ નૌમાન પણ નીચે આવ્યો હતો. આરોપી બાળકને લઈને જતો હોય તેવા CCTVબાળકે આ અંગે તેના વાલીને જાણ કરી હતી જે બાદ વાલીએ ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી નૌમાનની ધરપકડ કરી હતી. નૌમાન બાળકને લઈને જતો અને પરત આવતો CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને મેડિકલ રિપોર્ટના આધાર વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના માન દરવાજા વિસ્તારમાં મધરાતે આતંક મચાવનારા અસામાજિક તત્વોને ખાખીનો ખોફ બતાવવામાં આવ્યો છે. 5મી ફેબ્રુઆરીની મધરાતે રેલવે રાહત કોલોનીમાં 9થી વધુ બાઇકો પર સવાર થઈને આવેલા શખસોએ રિક્ષાચાલક સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ સલાબતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જે સ્થળે આતંક મચાવ્યો હતો, ત્યાં જ કાન પકડાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું છે. મધરાતે 12:35 વાગ્યે 9 બાઈકો પર ગુંડાઓનું ‘શક્તિપ્રદર્શન’ઘટનાની વિગતો મુજબ, ગત 5મી ફેબ્રુઆરીએ રાત્રે 12:35 કલાકે માન દરવાજા રેલવે રાહત કોલોની વિસ્તારની શાંતિ હણાઈ હતી. અચાનક 9થી વધુ ટુ-વ્હીલર પર સવાર થઈને આવેલા અસામાજિક તત્વો હોર્ન વગાડતા અને બૂમો પાડતા પસાર થયા હતા. પોલીસનો જરા પણ ડર ન હોય તેમ આ શખસો જાહેર માર્ગ પર બેફામ રીતે બાઈક હંકારી રહ્યા હતા. ત્રિપલ સવારી અને હોર્ન વગાડી આતંકનું વાતાવરણ ઊભુ કર્યુંસીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાત્રે 12:38 મિનિટે આ ટોળકી ફરીથી કોલોની પાસે ધસી આવી હતી. નવ બાઈક પર સવાર આ શખસોમાંથી મોટાભાગના ત્રિપલ સીટ બેઠા હતા. સતત હોર્ન વગાડીને તેઓએ સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી દીધી હતી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવા તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. રિક્ષાચાલક સાથે મારપીટ અને ગુંડાગર્દીઆ અસામાજિક તત્વો માત્ર બાઈક રેસિંગ સુધી મર્યાદિત ન રહ્યા, પણ ત્યાં ઉભેલા બેથી ત્રણ લોકો સાથે બળજબરીથી રકઝક કરવા લાગ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક રિક્ષાચાલકને આ શખ્સોએ ધક્કો મારી તેની સાથે મારામારી કરી હતી. આતંક ફેલાવ્યા બાદ આ આખી ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી, પરંતુ તેમની તમામ કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ બન્યા પુરાવોસીસીટીવી ફૂટેજ વાઇરલ થતા જ સલાબતપુરા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ફૂટેજના આધારે બાઈક નંબર અને ચહેરાઓની ઓળખ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મધરાતે દાદાગીરી કરીને સામાન્ય જનતાને ડરાવનારા આ ગુંડાઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. જે સ્થળે દાદાગીરી કરી ત્યાં જ કાન પકડાવી માફી મંગાવીપોલીસે આ મામલે કડક હાથે કામગીરી કરતા ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે તે જ વિસ્તારમાં આરોપીઓનું રિકન્ટ્રક્શન કરાયું હતુ, જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો. આરોપીઓએ જાહેરમાં કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ગઇકાલે(6 ફેબ્રુઆરી) મોડી રાત્રે NSUIએ તાળાબંધી કરી છે. વિદ્યાર્થી પર થયેલા હુમલાને લઈને NSUIએ વિરોધ કર્યો હતો જેના ભાગરૂપે મોડી રાતે NSUIએ સ્કૂલે જઈને તાળા મારી દીધા હતા. NSUIનું કહેવું છે કે સ્કૂલના પ્રિન્સિપાલ અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો રોજ રાત્રે સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. સેવન્થડે સ્કૂલમાં સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યાસેવન્થ ડે સ્કૂલનો વિવાદ ફરી એકવાર શરૂ થયો છે. સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર મારી શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. ફરીથી સ્કૂલમાં ગંભીર ઘટના બનતા NSUIએ સરકાર અને સ્કૂલના જવાબદાર અધિકારીઓ સામે વિરોધ કર્યો હતો. NSUIના નેતાઓએ રાત્રે સ્કૂલના ગેટ પર તાળા માર્યાઅગાઉ પણ જ્યારે એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી ત્યારે સ્કૂલની બહાર ભારે વિરોધ થયો હતો, સ્કૂલમાં તોડફોડ થઈ હતી અને NSUIએ સ્કૂલમાં તાળાબંધી પણ કરી હતી. ત્યારે ફરીથી સ્કૂલમાં બનાવ બનતા સ્કૂલમાં રાતના સમયે તાળાબંધી કરવામાં આવી છે. NSUIના નેતા ચિરાગ દરજી અને વેદાંત તોમર મોડી રાતે સ્કૂલ પહોંચીને સ્કૂલના તમામ ગેટ પર પોતાના તાળા મારીને આવ્યા હતા. દિવસે વિરોધ ને રાત્રે તાળા મારીશુંવેદાંત તોમરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઘટનામાં બેદરકારી રાખનાર સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફને જ્યાં સુધી સ્કૂલમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અન્ય બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે સ્કૂલે રોજ રાત્રે તાળા મારીશું. દિવસ દરમિયાન સ્કૂલની બહાર વિરોધ કરીશું જ્યારે રાત્રે સ્કૂલે તાળા મારી સ્કૂલ બંધ કરાવીશું. સરકાર હસ્તક વહીવટ છતાં ફરી મારામારીગઇકાલે સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો હતો. મહત્ત્વનું છે કે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક છે છતાં આ પ્રકારની ઘટના બની છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ત્રણ વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે સ્કૂલની બેદરકારી સામે આવી હતી. વિદ્યાર્થીએ ઘટના અંગે સ્કૂલને જાણ કરી હતી, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. જેથી વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સ્કૂલ સંચાલકોનો ઘટના છૂપાવવાનો પ્રયાસસમગ્ર મામલે સ્કૂલના સંચાલકોએ ઘટના છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલો કરનાર વિદ્યાર્થીઓ પાસે બ્લેડ ના હોવાનો શાળાએ દાવો કર્યો હતો. જોકે ફરિયાદમાં બ્લેડ વડે શર્ટ ફાડવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ઘટનાના આગલા દિવસે વાલીએ શાળા પ્રશાસનને જાણ કરી હતી. જાણ કરાઈ હોવા છતાં ઘટના બનતા શાળા પ્રશાસન સામે અનેક સવાલ ઉઠ્યા હતા. વાલીની ફરિયાદ બાદ શાળાએ માત્ર બેગ ચેક કરી સંતોષ માન્યો હતો. સ્કૂલમાં તપાસનો DEOનો આદેશઆ મામલે અમદાવાદ DEOએ સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટિસ આપી હતી. શાળામાં આવી ઘટના બની તેમ છતાં શાળા વહીવટ તરફથી કોઈ તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. નોટિસમાં જણાવાયું હતું કે આ ઘટના અંગે શાળા વહીવટ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. આવી ઘટનાઓ શાળાની શિસ્ત અને સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરે છે. આ મામલે તાત્કાલિક સમજૂતી આપવા અને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે અને જો સમયમર્યાદામાં જવાબ ન આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો: સેવન્થડે સ્કૂલમાં સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટે ફરજિયાત નિવૃત્ત કરતા પ્રિન્સિપાલની હાઈકોર્ટમાં અરજી લાઇનમાં ઊભા રહેવાનું કહેતાં મોનિટર સાથે 3 વિદ્યાર્થી ઝઘડ્યાપોલીસ ફરિયાદ મુજબ સેવન્થ ડે સ્કૂલ છૂટ્યા બાદ બધા વિદ્યાર્થીઓને લાઈનબદ્ધ રીતે બહાર નીકળે એ માટે ધોરણ 7માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જે મોનિટર હતો તે નિર્દેશ આપી રહ્યો હતો. એેના બાદ ત્રણ વિદ્યાર્થી એક લાઈનમાં ચાલતા ન હોવાથી મોનિટરે તેમને લાઈનમાં ચાલવા અથવા સાઈડમાં ઊભા રહી જવાનું કહેતાં ત્રણેય તેની સાથે ઝઘડવા લાગ્યા અને તેને ધમકાવવા લાગ્યા હતા. કાલે તને જોઈ લઇશું કહી, જાનથી મારી નાખવાની ધમકી આપીત્યાર બાદ સ્કૂલમાંથી બહાર નીકળતી વેળાએ સાઇકલ પાર્કિગની બાજુના એરિયામાં ત્રણેય વિદ્યાર્થીએ મોનિટરને કહ્યું કે કાલે તને જોઈ લઈશું, એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ મોનિટર ઘરે જતો રહ્યો. મોનિટર વોશરૂમ જતો હતો એે સમયે મારામારી કરીબીજા દિવસે સ્કૂલે આશરે 11 વાગ્યે મોનિટર ક્લાસરૂમમાંથી વોશરુમ તરફ નીકળ્યો ત્યારે ત્રણેય તેની પાછળ ગયા હતા. ત્યાં જ કોલર પકડીને મોનિટરને ધમકાવ્યો હતો કે તે અમને લાઈનમાંથી બહાર કેમ કર્યા? આ દરમિયાન ત્રણ પૈકી એક વિદ્યાર્થીએ તેના હાથમાં રહેલી બ્લેડથી મોનિટરના શર્ટના બટન તોડી નાખ્યા અને ધમકી આપી હતી કે હવે પછી આવુ કર્યું તો તને જાનથી મારી નાખીશું એમ કહીને મારામારી કરી હતી. ઘાટલોડિયામાં સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે લાકડી-પટ્ટાઓથી ગેંગવોર19 જાન્યુઆરી, 2026એ ઘાટલોડિયામાં સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની બહેને આક્ષેપ કર્યા હતા કે, ભાઈને માથામાં વધારે વાગ્યું છે, પણ સ્કૂલે પટ્ટી પણ સરખી બંધાવી નથી. જો તેના મિત્રએ છરી ન પકડી હોત અને મર્ડર થયું હોત તો શું કરત? આ પણ વાંચો: અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના
દાહોદ-લીમખેડા નેશનલ હાઈવે પર આવેલ દાંતીયા ગામ પાસે આજે વહેલી સવારે એક અજાણ્યા વાહને દીપડાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વહેલી સવારના સમયે જ્યારે દીપડો હાઈવે ઓળંગી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ડિવાઈડર પર દીપડો મૃત હાલતમાં મળી આવ્યોસ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દાહોદ અને આસપાસના જંગલ વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર અવારનવાર જોવા મળે છે. આજે વહેલી સવારે શિકાર કે પાણીની શોધમાં નીકળેલો એક દીપડો હાઈવે ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન અંધકારનો લાભ લઈ પસાર થઈ રહેલા એક અજાણ્યા ભારે વાહને દીપડાને અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે દીપડો ઉછળીને સીધો હાઈવેના ડિવાઈડર પર પટકાયો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાઈવે પેટ્રોલિંગે વન વિભાગને કરી જાણનેશનલ હાઈવે પેટ્રોલિંગની ટીમ જ્યારે રૂટિન પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમની નજર ડિવાઈડર પર પડેલા વન્યજીવ પર પડી હતી. તપાસ કરતા તે દીપડો હોવાનું અને મૃત હાલતમાં હોવાનું જણાયું હતું. પેટ્રોલિંગની ટીમે આ અંગે તાત્કાલિક સ્થાનિક વન વિભાગને વાકેફ કર્યા હતા. સમાચાર મળતા જ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને દીપડાના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પીએમ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશેવન વિભાગ દ્વારા અત્યારે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દીપડાના મોતના ચોક્કસ કારણો અને તેની ઉંમર અંગેની સચોટ માહિતી પ્રાપ્ત થશે. હાઈવે પર અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન અંગે પણ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. વન્યજીવોની સુરક્ષા અંગે ઉઠ્યા સવાલોઆ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે. જંગલ વિસ્તારની બોર્ડર પરથી પસાર થતા આ હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા અને વન્યજીવોની સુરક્ષા માટેના જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે વન વિભાગ દ્વારા હાઈવે પર સાવચેતીના બોર્ડ અને પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લા પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા 150 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ જારી કરાયા છે. આ બદલીઓ મુખ્યત્વે એવા પોલીસ કર્મચારીઓની કરવામાં આવી છે જેઓ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. અન્ય વહીવટી કારણોસર પણ કેટલાક કર્મચારીઓની બદલી કરાઈ છે. આ બદલીઓમાં ગઢડા, બોટાદ, રૂરલ, રાણપુર, બરવાળા, ઢસા અને પાળીયાદ સહિતના જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. બદલી થયેલા તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી ફરજ પર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.
અમેરિકા-ઇરાન વચ્ચેની બેઠક 'ફેલ' થતાં ટ્રમ્પે નવા પ્રતિબંધ ઝીંક્યા, પણ ટેન્શન વચ્ચે આશાનું કિરણ
(AI Image) US announces new Iran oil sanctions: ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ઓમાનની રાજધાની મસ્કતમાં બંને દેશો વચ્ચે ચાલેલી પરોક્ષ વાતચીત હજુ માંડ પૂરી થઈ હતી, ત્યાં જ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કડક તેલ પ્રતિબંધોની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન તેલની કમાણીનો ઉપયોગ દુનિયામાં અસ્થિરતા ફેલાવવા અને પોતાના દેશમાં લોકોનું દમન કરવા માટે કરે છે, તેથી તેના તેલ નિકાસને રોકવુ જરૂરી છે.
અમરેલીમાં ₹12.28 કરોડની સ્કોલરશીપ અપાઈ:19,520 વિદ્યાર્થિનીને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળ્યો
અમરેલી જિલ્લામાં નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના હેઠળ ધોરણ 9 થી 12ની 19,520 વિદ્યાર્થિનીઓને કુલ ₹12.28 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકારની આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ચાલુ રાખવા માટે આર્થિક મદદ પૂરી પાડવાનો છે, જેથી શિક્ષણ છોડી દેવાના કિસ્સાઓ ઘટાડી શકાય. જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલે જણાવ્યું હતું કે, આ યોજના આર્થિક સંજોગોને કારણે અભ્યાસ છોડી દેતી વિદ્યાર્થિનીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. વર્ષ 2025-26 દરમિયાન અમરેલી જિલ્લામાં આ યોજનાનો વ્યાપક અમલ કરવામાં આવ્યો હતો. નમો લક્ષ્મી સ્કોલરશીપના અમલથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અને આર્થિક રીતે જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળ્યું છે. આ યોજનાના પરિણામે અનેક દીકરીઓ શાળામાં નિયમિત રીતે જોડાઈ છે અને તેમના શૈક્ષણિક વિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. આ સ્કોલરશીપના કારણે અમરેલી શહેરની ટી.પી.એમ.ટી. ગર્લ્સ સ્કૂલની બે વિદ્યાર્થિીઓ, જેઓ નબળી આર્થિક સ્થિતિને કારણે આગળ અભ્યાસ કરી શકતી ન હતી, તેઓ હવે ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શકશે. આ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓની 316 શાળાઓની કુલ 19,520 વિદ્યાર્થિનીઓને સહાય મળી છે. જેમાં અમરેલી તાલુકાની 67 શાળાઓની 3,599 વિદ્યાર્થિનીઓ, બાબરા તાલુકાની 24 શાળાઓની 1,535, લાઠી તાલુકાની 9 શાળાઓની 1,669, લીલીયા તાલુકાની 32 શાળાઓની 649, કુંકાવાવ તાલુકાની 24 શાળાઓની 830, બગસરા તાલુકાની 16 શાળાઓની 117, ધારી તાલુકાની 21 શાળાઓની 1,390, ખાંભા તાલુકાની 18 શાળાઓની 1,113, રાજુલા તાલુકાની 39 શાળાઓની 2,841, જાફરાબાદ તાલુકાની 21 શાળાઓની 1,862 અને સાવરકુંડલા તાલુકાની 45 શાળાઓની 2,915 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓને માસિક આધાર પર સહાય આપવામાં આવે છે, જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વધુ પ્રોત્સાહક દરે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહનરૂપે નિર્ધારિત ધોરણ પાસ કર્યા બાદ વધારાની સહાય પણ આપવામાં આવે છે. સમગ્ર સહાય રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી વિદ્યાર્થિનીના બેંક ખાતામાં જમા થતી હોવાથી પારદર્શિતા અને સમયબદ્ધ ચુકવણી સુનિશ્ચિત થાય છે. આ યોજના અંતર્ગત અમરેલી ધો. 9-12ની 19,520 વિદ્યાર્થિનીઓને આ સ્કોલરશીપ દ્વારા પોતાના શિક્ષણમાં પૂરક સહાયતા મળી છે. આ યોજનાના લીધે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી ભણાવવાની માનસિકતા મજબૂત બની છે. નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી સીમિત નથી, પરંતુ તે દીકરીઓના આત્મવિશ્વાસ, શૈક્ષણિક સ્થિરતા અને સામાજિક સશક્તિકરણ તરફનો એક મહત્વપૂર્ણ પગથિયો છે. અમરેલી જિલ્લાની ઉપલબ્ધિ એ દર્શાવે છે કે સરકારની યોગ્ય નીતિ, સમયસર અમલ અને વહીવટી અંતર્ગત દ્વારા શિક્ષણ ક્ષેત્રે દીર્ઘકાલીન સકારાત્મક બદલાવ શક્ય બની રહ્યો છે
સુરત એક્સપ્રેસ હાઇવે પર કારમાં આગ:નરોલી સીમમાં બળી ગયેલી કાર પાસેથી મૃતદેહ મળ્યો
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતાં એક્સપ્રેસ હાઇવે પર નરોલી ગામની સીમમાં એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. દુર્ઘટના સ્થળેથી કારની નજીકથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં મૃતક વલસાડ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, વલસાડ પાસિંગની એક કાર એક્સપ્રેસ હાઇવે પર નરોલી નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે કોઈ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ. ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતા કારની બાજુમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મનીષકુમાર જયરામભાઈ પટેલ તરીકે થઈ છે, જેઓ વલસાડ જિલ્લાના વતની હતા. પોલીસનું અનુમાન છે કે મૃતક પોતે જ કાર ચલાવી રહ્યા હતા. આ મામલે કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL)ની મદદ લેવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.
આજથી T20 વર્લ્ડ કપનો રોમાંચ શરૂ: પ્રથમ દિવસે ત્રણ મેચ, વાનખેડેમાં ભારત-અમેરિકા વચ્ચે ટક્કર
પ્રતિકાત્મક AI તસવીર
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પર ઝુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત થયો છે. રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારનું એક ટાયર પણ નીકળી ગયું. આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કારચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતા આખો પોલ ઊખડી ગયો હતો અને રેન્જ રિવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ રેન્જ રોવર કાર એક વર્ષ પહેલાં વેચી દેવામાં આવી હતી. વેચાણના આધારે પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વૈભવી કારના આગળના ભાગના કુરચેે કુરચા ઉડી ગયા હતા. આ ભયાનક અકસ્માત અંગે રાવપુરા પોલીસે સરકારી મિલકતને નુકસાન બદલ હાલમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કારચાલક નશામાં હતો કે કેમ? કારની સ્પીડ કેટલી હતી અને કયા કારણોસર અકસ્માત થયો? તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….
રાજકોટની કોઠારીયા નાકા પાસે આવેલી કિશોરસિંહજી પ્રાથમિક શાળાનું 2.54 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. 187 વર્ષ જૂની આ જ સ્કૂલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ધોરણ 3 અને 4નો અભ્યાસ કર્યો હતો.આ હેરિટેજ શાળાને હાલ નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા છે. અહીં વિદ્યાર્થી મોહનદાસ ગાંધીની ધોરણ 4ની માર્કશીટ સહિતની યાદો સચવાયેલી છે. માર્ચ માસના અંત સુધીમાં આ કામ પણ પૂર્ણ થઈ જશે આ સ્કૂલની વિશેષતા એ છે કે અહીં મેંગ્લોરી ટાઇલ્સ નળીયાથી છત તૈયાર કરવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓને ઉનાળામાં ઓછી ગરમી અને શિયાળામાં ઠંડી ઓછી લાગશે. હાલ વિદ્યાર્થીઓ સંત તુલસીદાસ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છેકિશોરસિંહજી પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ શૈલેષભાઈ સોનીએ જણાવ્યું હતું કે, હાલ આ સ્કૂલનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી અહીંના વિદ્યાર્થીઓ રામનાથપરામાં આવેલી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16માં અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના 170 વિદ્યાર્થીઓ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથેના અનેક સંભારણાઓ આ સ્કૂલમાં સચવાયેલા છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં 11 રૂમ અને મોટો હોલજ્યારે આ સ્કૂલ બિલ્ડીંગનું રિનોવેશન કરી રહેલા એન્જિનિયરે જણાવ્યું હતું કે, મુંબઈના સવાણી હેરિટેજ દ્વારા આ બિલ્ડીંગ તૈયાર થઈ રહ્યું છે. જેમને જૂનાગઢ, ગોંડલ, અમરેલી સહિતમાં સ્કૂલ બિલ્ડીંગ તેમજ કોર્ટ, કોમર્શિયલ બિલ્ડિંગ અને મિનિસ્ટર બંગલોના નિર્માણ કરવાનો અનુભવ છે. હાલ રાજકોટની કિશોરસિંહજી સ્કૂલનું રિનોવેશન 6 માસથી ચાલી રહ્યું છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં 11 રૂમ અને મોટો હોલ તેમજ ફર્સ્ટ ફ્લોરમાં મોટો હોલ છે. આ સ્કૂલનું નવા લાકડાથી રૂફ તૈયાર થઈ રહ્યું છે. રાફ્ટર પર્લિન્સ અને ટ્રસ સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વુડન પ્લેન્ક, ડંગરી ક્લોથ, બીટ્યુમિનસ કોટ, એલ્યુમિનિયમ શીટ, વુડન બેટન અને તે પછી મેંગ્લોર ટાઇલ્સ નળીયા નાખવામાં આવ્યા છે. જેથી આ બિલ્ડીંગ ગરમીમાં ઠંડુ રહેશે અને શિયાળામાં વિદ્યાર્થીઓને હૂંફ આપશે. આ સાથે જ આ બિલ્ડીંગની લાઇફ ટાઇમ ગેરેન્ટી પણ આપવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે સંકળાયેલી યાદોઆ સ્કૂલમાં સચવાયેલી ગાંધીજીની ધો.4ની માર્કશીટમાં તેમને ડિક્ટેશનમાં સૌથી વધુ 60માંથી 60 માર્ક આવ્યા હતા. જ્યારે અંક ગણિતમાં 50 માર્ક મળ્યા હોવાનું નોંધાયેલું છે. જોકે વ્યાકરણમાં 25માંથી 10 માર્ક આવ્યા હોવાનું પરિણામમાં નોંધવામાં આવ્યું છે કે, બંને વર્ગના વ્યાકરણના વિષયો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તો ફાઇલના વિષયમાં 15 માંથી 5 માર્ક આવતા રીઝલ્ટમાં લખાયું છે કે ફાઈલ વાંચવાનો મહાવરો પડેલો હોય તેવું જણાતું નથી. ગાંધીજી રાજકોટની બ્રાન્ચ શાળામાં પહેલું અને બીજું ધોરણ ભણ્યા હતાગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ રાજકોટ થી મેળવ્યું હતું.જેમાં વર્ષ 1877થી 1879માં પ્રથમ અને બીજું ધોરણ બ્રાન્ચ શાળામાંથી પૂર્ણ કર્યું હતું. જે બાદ 21- 01- 1879 થી 1- 12- 1880 સુધી કિશોરસિંહજી શાળામાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ હાઈસ્કૂલમાં જવાથી તેમણે આ સ્કૂલ છોડી હતી. એ વખતના તેમના આચાર્ય માણેકલાલ નાગરદાસ શાહ હતા. જ્યારે બાળ વર્ગમાં શિક્ષક તરીકે ઓધવજી ભટ્ટ, ત્રીજા ધોરણના વર્ગ શિક્ષક કાળીદાસ નારણજી અને ચોથા ધોરણના વર્ગ શિક્ષક તરીકે ચતુરભાઈ બાપુજી હતા. ગાંધી સ્મૃતિ શાળાના જૂના નામો1838માં આ સ્કૂલનું નામ સરકારી ગુજરાતી મુખ્ય નિશાળ, 1870માં પરા તાલુકા શાળા, 1887માં વિક્ટોરિયા જયુબેલી તાલુકા શાળા, 1879માં તાલુકા શાળા નં.1, 01- 02- 1923થી આ સ્કૂલનું નામ કિશોરસિંહજી તાલુકા શાળા નં.1 પડ્યું. જ્યારે 1 એપ્રિલ, 1966થી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નં.1 તરીકે ઓળખાય છે. નવનિયુક્ત શાળામાં ગાંધી સ્મૃતિ ખંડ બનાવવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરનું અને સમગ્ર ગુજરાતનું સૌથી જૂનું, સૌથી મોટું અને સૌથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતું કાલુપુર રેલવે સ્ટેશન હાલ રિડેવલપમેન્ટના કામ હેઠળ છે. કાલુપુર સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આધુનિક બનાવવાના હેતુથી ચાલી રહેલા આ વિકાસકામના પગલે અનેક મહત્વપૂર્ણ ટ્રેનોને અસ્થાયી રીતે સાબરમતી રેલવે સ્ટેશન પરથી ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો હવે સાબરમતી રેલવે સ્ટેશન પરથી જ ઉપડે છે અને અહીં જ પહોંચે છે. આ બદલાવ સાથે સાબરમતી રેલવે સ્ટેશનને પણ સંપૂર્ણપણે નવેસરથી વિકસાવવામાં આવ્યું છે. આધુનિક ડિઝાઇન, સારું એવું ટ્રાફિક મેનેજમેન્ટ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં ઘણી બધી નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ તમામ નવી સુવિધાઓ અને વ્યવસ્થાઓને નજીકથી જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ સાબરમતી રેલવે સ્ટેશન પર પહોંચી હતી. વિશાળ અને પહોળો એન્ટ્રી ગેટસાબરમતી રેલવે સ્ટેશનનો નવો એન્ટ્રી ગેટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એન્ટ્રી અને એક્ઝિટ વિસ્તારની બાજુમાં બનાવવામાં આવ્યો છે. અહીં પ્રવેશ કરતા જ વિશાળ અને પહોળો રોડ જોવા મળે છે, જે એટલો વિશાળ છે કે એક સાથે ચાર વાહનો સરળતાથી પસાર થઈ શકે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને મુસાફરોને સરળ પ્રવેશ મળી રહે તે માટે આ રોડને આગળ જઈને બે અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એન્ટ્રી ગેટની બાજુમાં ટેક્સી-ઓટો માટે પિક અપ-ડ્રોપ પોઇન્ટઆમાં એક રસ્તો ખાનગી વાહન લઈને આવતા મુસાફરો માટે રાખવામાં આવ્યો છે, જ્યારે બીજો રસ્તો ટેક્સી અને ઓટો રિક્ષા માટે રિઝવ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારની બાજુમાં જ ટેક્સી અને ઓટો રિક્ષા માટે પિકઅપ અને ડ્રોપ-ઓફ પોઇન્ટ રાખવામાં આવ્યો છે, જેથી મુસાફરોને ભારે સામાન સાથે લાંબું અંતર ન ચાલવું પડે અને સીધા જ સ્ટેશનમાં પ્રવેશ મળી રહે. સ્ટેશનમાં પ્રવેશતા જ ડાબી બાજુએ ટિકિટ કાઉન્ટરસ્ટેશનની અંદર પ્રવેશતા જ ડાબી બાજુએ ટિકિટ કાઉન્ટર અને આધુનિક એટીવીએમ મશીનો મૂકવામાં આવ્યા છે, જ્યાં મુસાફરો સરળતાથી ટિકિટ મેળવી શકે છે. જ્યારે જમણી બાજુએ ઉપરના માળે જવા માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરોની સંખ્યા અને ભીડને ધ્યાનમાં રાખીને કુલ ત્રણ લિફ્ટ બનાવવામાં આવી છે. લિફ્ટના ઉપરના ભાગે મોટી સાઇઝની LED સ્ક્રીનલિફ્ટના ઉપરના ભાગે મોટી સાઇઝની એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેમાં ટ્રેન નંબર, ટ્રેનનું નામ, આવન-જાવનનો સમય અને પ્લેટફોર્મની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત સામેની બાજુએ એસ્કેલેટરની પણ સુવિધા છે, જેથી વૃદ્ધો, બાળકો અને ભારે સામાન સાથે મુસાફરી કરતા મુસાફરોને કોઈ અગવડતા ન પડે. પ્રથમ માળ પર વેઇટિંગ એરિયાપ્રથમ માળ પર પહોંચતા જ રિઝર્વ ટિકિટ ધરાવતા મુસાફરો માટે વિશાળ અને આરામદાયક વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. અહીં અલગથી ટિકિટ કાઉન્ટરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે જ સંભાળ રાખનાર અને રાત્રી રોકાણ માટે ડોર્મિટરી રૂમ બનાવવામાં આવ્યો છે. મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની પરબ પણ પ્રથમ માળ પર બનાવવામાં આવી છે. બીજા માળના વેઇટિંગ એરિયામાં થોડા-થોડા અંતરે ચાર્જિંગ પોઇન્ટપ્રથમ માળેથી બીજા માળે જવા માટે ફરી એકવાર એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા માળ પર ખૂબ મોટો અને ખુલ્લો વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. આ વેઇટિંગ એરિયામાં મુસાફરોને રાહ જોતી વખતે કોઈ મુશ્કેલી ન પડે તે માટે થોડા-થોડા અંતરે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક સાધનો ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ મૂકવામાં આવ્યા છે. સાથે જ બેસવા માટે પૂરતી સંખ્યામાં બાંકડાઓ અને આરામદાયક બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ અલગથી ટિકિટ કાઉન્ટર બનાવવામાં આવ્યો છે. ડાબી બાજુએ 50 મીટરના અંતરે જ પ્લેટફોર્મબે માળના આ વિશાળ અને આધુનિક સ્ટેશન બિલ્ડિંગમાં મુસાફરોની સુવિધા માટે લિફ્ટ અને એસ્કેલેટરની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક વયના મુસાફરો સરળતાથી અવરજવર કરી શકે. સ્ટેશન બિલ્ડિંગની ડાબી બાજુથી અંદાજે 50 મીટરના અંતરે સીધા પ્લેટફોર્મ પર પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જમણી બાજુથી જૂના સાબરમતી રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો જોવા મળે છે. એક એક્ઝિટ પોઇન્ટ પેઇડ પાર્કિંગ તરફઆ રસ્તા પરથી આગળ જતા આશરે 100 મીટરના અંતરે પેઇડ પાર્કિંગની સુવિધા આપવામાં આવેલી છે. મુસાફરોને બહાર નીકળવામાં સરળતા રહે તે માટે એક એક્ઝિટ પોઇન્ટ પેઇડ પાર્કિંગ તરફ રાખવામાં આવ્યો છે, જ્યારે બીજો એક્ઝિટ પોઇન્ટ ખાસ કરીને ટેક્સી અને ઓટો રિક્ષા માટે બનાવવામાં આવ્યો છે. કાલુપુરની જેમ સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારોકાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ બાદ હવે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર ભારત અને જમ્મુ-કાશ્મીર તરફ જતી મોટાભાગની ટ્રેનો સાબરમતી રેલવે સ્ટેશન પરથી જ ઉપડે છે અને અહીં જ ઉભી રહે છે. જેના કારણે મુસાફરો હવે કાલુપુર જવાને બદલે સીધા સાબરમતી રેલવે સ્ટેશન પરથી જ પોતાની મુસાફરી શરૂ કરી રહ્યા છે. જેથી ઉત્તર ભારત તરફના લોકો માટે સાબરમતી રેલવે સ્ટેશન ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ઉત્તર ભારત તરફ જવાનું મુખ્ય રેલવે હબઆ રીતે સાબરમતી રેલવે સ્ટેશન હવે માત્ર એક વિકલ્પ નહીં પરંતુ અમદાવાદ માટે દિલ્હી અને ઉત્તર ભારત તરફ જવાનું મુખ્ય અને સૌથી મોટું રેલવે હબ બની ગયું છે. આધુનિક સુવિધાઓ, સુવ્યવસ્થિત આયોજન અને મુસાફરને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી વ્યવસ્થાઓ સાથે સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદના રેલવે નકશા પર નવી ઓળખ ઊભી કરી રહ્યું છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
અમદાવાદથી અંદાજે 80 કિલોમીટર દૂર જ્યાં વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ આવેલું છે એવા સિંધુ ખીણની સભ્યતાના ગૌરવ સમાન ગણાતો લોથલનો ઇતિહાસ વધુ એકવાર કરવટ બદલવા જઇ રહ્યો છે. 65 વર્ષ બાદ અહીં ફરીથી ખોદકામ શરૂ કરાયું છે. જેમાં સોનાના કણ મળ્યાં છે. એક તરફ લોથલમાં ભવ્ય નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ જૂની સાઇટ પર આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના વડોદરા સર્કલના આર્કિયોલોજિસ્ટ્સ ઇતિહાસ સાથે જોડાયેલી બાકીની કડીઓને શોધવાનું કામ કરી રહ્યાં છે. આખરે 65 વર્ષ બાદ કેમ ફરી ખોદકામ શરૂ કરવામાં આવ્યું? એવા કયા સંકેત મળ્યાં જેના કારણે અહીં ફરી શોધખોળની કામગીરી થઇ? એ સમય અને આજના સમયની કામગીરીમાં કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? અત્યાર સુધીના ખોદકામમાં કેવી-કેવી વસ્તુઓ મળી છે? આ ખોદકામ ક્યાં સુધી કરવામાં આવશે? આવા અનેક સવાલો અંગે દિવ્ય ભાસ્કરે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, વડોદરા સર્કલના સુપરિટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ ડૉ. શુભ મજુમદાર અને સાઇટ સુપર વાઇઝર સંતોષ કર્ણ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. 1947માં ભારત દેશ જ્યારે આઝાદ થયો એ પછી હડપ્પન સાઇટ પાકિસ્તાનમાં જતી રહી હતી પણ તેમાંનો કેટલોક ભાગ ભારતમાં હતો. આ સંભાવનાને જોતાં કેન્દ્ર સરકારે ભારતમાં આવી સાઇટ્સને શોધવાના આદેશ કર્યા હતા. જેથી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ આવી સાઇટ્સ શોધવા માટેનું કામ શરૂ કર્યું હતું. 1955માં ખોદકામ શરૂ થયું હતુંહાલમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના ઘણાં સર્કલ છે. એ સમયે લોથલ વડોદરા સર્કલ નહીં પરંતુ વેસ્ટન સર્કલમાં આવતું હતું. જેમાં ડૉ.એસ.આર.રાવ પોસ્ટેડ હતા. તેમને 1954-55માં લોથલ ગામના લોકો પાસેથી કેટલીક માહિતી મળી હતી જેના આધારે તેમણે 1955માં લોથલમાં ખોદકામ શરૂ કર્યું હતું. 65 વર્ષ બાદ ફરીથી સંશોધનઅત્યારે જે ટીમ અહીં ખોદકામ કરી રહી છે તેણે ડૉ. રાવના રિપોર્ટનો અભ્યાસ કરીને તેના આધારે સાઇટનું મેપિંગ કર્યું હતું. ડૉ. રાવની ટીમે કયા-કયા એરિયામાં ખોદકામ કર્યું હતું અને કયા એરિયા છોડી દીધા હતા તે વિસ્તારને માર્ક કર્યા હતા અને સાઇટનો કોન્ટૂર પ્લાન બનાવ્યો હતો. જેના પછી માર્ચ, 2025માં ફરીવાર ખોદકામ શરૂ કર્યું હતું. જાન્યુઆરી, 2025માં તેમને આ ખોદકામ કરવાનો આદેશ મળ્યો હતો. જ્યાંથી કંઇક પુરાવા મળે તેવી આશા હતી તે ખાલી પ્લોટને માર્ક કરવાની કામગીરી શરૂ કરી હતી અને આખી સાઇટનો મેપ તૈયાર કરીને તેને A,B અને C એમ 3 ભાગમાં ડિવાઇડ કર્યો હતો. સોનાનાં કણ, હાડકાંના નાના કટકા મળ્યાંખોદકામ દરમિયાન ટીમને અહીંથી નાનામાં નાની વસ્તુઓ મળી છે. સોનાનાં કણ, હાડકાના નાના કટકા, એ સમયનું રો મટિરિયલ, ડ્રિલ બીટ, માર્ક બ્રિકસનું સ્ટ્રક્ચર (ઇંટનું માળખું), ત્રણ સીલ (પથ્થર, ધાતુ, હાડકા કે પકવેલી માટીમાંથી બનાવેલી એક એવી નાની વસ્તુ જેના પર વિશિષ્ટ પ્રકારના ચિત્રો કે લખાણ કોતરેલું હોય) મળ્યાં છે. જેમાં એકમાં યુનિકોન જ્યારે બાકીના બે ટેરાકોટાના (પકવેલી માટીની મૂર્તિ) છે. વડોદરા સર્કલના સુપરિટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ ડૉ. શુભ મજુમદારે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અહીંથી અમને હાડકાંઓ, માછલીના હાડકાંઓ, ઓટોલિક મળે છે. હાલમાં અમે આર્કિયોલોજી, ઝૂઓલોજી, બોટનિકલ સ્ટડીનો ઉપયોગ કરી રહ્યાં છીએ. જેથી ખબર પડશે કે એ સમયે કેવું ફ્રેશ વોટર અહીં હતું. આ ફિશ કેવા પ્રકારની હતી, ત્યારના લોકો માછલી પર કેવી રીતે કટ મારતાં હતા. 'ડૉ. એસ.આર.રાવે 1955 થી 1962ના વર્ષ દરમિયાન અહીં ખોદકામ કર્યું હતું. આટલા લાંબા વર્ષો સુધી ચાલેલા એ ખોદકામ દરમિયાન હડપ્પા સમયની ઘણી બધી વસ્તુઓ મળી હતી. જેમાં સૌથી વધારે સિલ સિલિંગ લોથલમાંથી મળી આવ્યાં હતા, લોથલનું ડોકયાર્ડ પણ મળ્યું હતું. આ ડોકયાર્ડ હડપ્પા કાળનું એકમાત્ર એવું ડોકયાર્ડ છે જે ભારતમાં આવેલું છે. એ સમયનું વેર હાઉસ, ટર્મિનોલોજીનો ઉપયોગ કર્યો હતો તે અને લોઅર ટાઉન પણ મળી આવ્યું હતું.' જે પુરાવા મળ્યાં તે મ્યૂઝિયમને આપ્યાંઆખરે 65 વર્ષ પછી કેમ હવે ફરી એકવાર લોથલમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે એ અંગે પૂછતાં ડૉ. શુભ મજુમદારે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ મેરિટાઇમ મ્યુઝિયમ હાલમાં લોથલમાં આકાર લઇ રહ્યો છે. અત્યાર સુધીમાં અહીંથી જે પુરાવાઓ મળ્યાં છે તે અમે મ્યૂઝિયમ માટે તેમને આપી દીધા છે. 'બીજી વખત ખોદકામ કરવાનો હેતુ એ જ છે કે અહીં જ્યારે લોકો આવશે ત્યારે તેમને લોથલ સાઇટ પર લાઇવ ખોદકામ પણ જોવા મળશે અને મ્યુઝિયમ પણ જોઇ શકશે. બીજો એ પણ વિચાર હતો કે અહીં વર્ષો પહેલાં ખોદકામ થયું હતું ત્યારે ઘણી એવી બાબતો છૂટી ગઇ હશે જેને હાલના ખોદકામમાં સાયન્ટિફિક ડેટાના આધારે શોધી શકાશે. આવા સંજોગોમાં એવું બની શકે કે આપણને તદ્દન નવા જ રહસ્યો મળી આવે.' 'ઝોન પ્રમાણે વહેંચેલી જગ્યાઓમાંથી ગયા વર્ષે A ઝોનને વધારે ફોક્સ કર્યો હતો કેમ કે તે એક્રોપોલિશ અને લોઅર ટાઉનના એરિયાની વચ્ચેનો ભાગ છે. આ એરિયાનો ઘણો એવો ભાગ હતો જ્યાં કોઇપણ પ્રકારનું ખોદકામ કરવામાં નહોતું આવ્યું. એટલે વચ્ચેના ભાગમાં જો કંઇ પુરાવા મળે તો તેના પરથી આ બંને ભાગનું કનેક્શન મળી શકે તેમ છે જેના આધારે અહીં ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું.' ફરીથી ખોદકામ કરવા માટે આ એરિયામાં 7 ભાગ નક્કી કરાયા હતા. ડૉ. મજુમદાર કહે છે કે, એક ભાગ 10 બાય 10નો હતો. એ ભાગના 4 બાય 2.5માં એમ કુલ 4 ભાગ કર્યા હતા. એ પછી તેમાં બ્રશ અને અન્ય સાધનોની મદદથી ધીરે ધીરે ખોદકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન અમે 4 થી 4.5 મીટર સુધીનું વર્ટિકલ ખોદકામ કરીને નીચે સુધી પહોંચ્યાં હતા. પૂરની સ્થિતિ કેવી હતી?'અમે ડોકયાર્ડને અડીને બી ઝોનમાં ખોદકામ શરૂ કર્યું હતું. ડૉ. એસ.આર.રાવના રિપોર્ટમાં લખેલું હતું કે અહીં બે વાર પૂર આવેલાં હતા. જેના કારણે સ્ટ્રક્ચર અને તેના સેટલમેન્ટને નુકસાન થયું હતું. એટલે અહીં ખોદકામનો અમારો ઉદ્દેશ્ય એ પૂરની સ્થિતિને ટ્રેસ કરવાનો હતો. આ જ જગ્યા પર બે લેવલ નીચે બ્રિક્સનો રેમ્પ ફ્લોર મળ્યો હતો પણ અહીં પાણીનું લેવલ વધારે હોવાના કારણે 6 મીટર જેટલું ખોદકામ કરીને તેને છોડી દેવામાં આવ્યું છે.' ડૉ. મજુમદાર આગળ કહે છે કે, આ વખતે અમારો પ્રયત્ન એ છે કે એ વિસ્તારમાં ફરીવાર ખોદકામ કરીને જ્યાંથી અમને લોઅર સ્ટ્રક્ચર મળ્યું હતું તેનો નેચર કેવો છે તે જાણવું છે. આ ઉપરાંત જે એક્રોપોલિશની પાછળનો ભાગ છે ત્યાં અમે બે નાના નાના સ્ટ્રેન્ચ લીધા હતા ત્યાં પણ વોલને શોધવા માટે કામગીરી કરી પણ ત્યાંથી કોઇ સારા પુરાવા મળ્યા નથી. સંશોધન પહેલાં ડ્રોન સરવેખોદકામ શરૂ કરતાં પહેલાં અહીં ડ્રોનથી સરવે કરાયો હતો. તે પછી સાઇટના ફોટો લઇને જે એરિયાની જરૂર હતી તેને કોમ્પ્યુટરની મદદથી માર્ક કરીને ત્યાં કામગીરી શરૂ કરાઇ હતી. સમયાંતરે ડ્રોનથી અહીં સર્વે થાય છે અને ફોટો પણ લેવાય છે. તેમણે કહ્યું કે, હાલમાં અહીં જે ખોદકામ થાય છે તેમાંથી જે માટી નીકળે છે તેને અલગ-અલગ ઢગલામાં રાખીએ છીએ અને સુપરવાઇઝર તેની તપાસ કરે છે. જેના પછી અમે માટીને નાનામાં નાની ઝાળીમાં બારીકાઇથી ચાળીએ છીએ. દરરોજનું કેટલું ખોદકામ અહીં કરવામાં આવી રહ્યું છે એ અંગે પૂછતાં ડૉ. શુભ મજુમદારે કહ્યું, એ કહેવું તો મુશ્કેલ છે કેમ કે ખોદકામ ચાલતું હોય ત્યારે એવી કોઇ વસ્તુ મળી જાય તો બારીકાઇથી કામ કરવું પડે છે અને તે જગ્યાને પ્રોપર બ્રશથી ક્લિન કરવી પડે છે. 'પહેલાં જે ખોદકામની પદ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો હતો એ જ રીતે હાલમાં પણ ખોદકામ કરવામાં આવી રહ્યું છે પણ હાલમાં અમે ડેટા અને ડેટ્સ માટે ફોક્સ કરી રહ્યાં છીએ. અમને 30 જેટલા સેમ્પલ પણ મળ્યાં હતા જે હાલમાં પ્રોસેસમાં છે એટલે તેની ડેટ્સ પણ ખૂબ જ ઝડપથી આવી જશે.' 'અહીં અમારી એક્સપર્ટ ટીમ કામ કરી રહી છે પણ તેની સાથે સાથે અહીં આસપાસના જે લોકલ વર્કર છે તેની પણ અમે મદદ લઇ રહ્યાં છીએ. અંદાજે રોજના 50 કરતાં વધુ શ્રમિકો અહીં કામ કરે છે એટલે આસપાસના લોકોને રોજગારી પણ મળે છે.' મે મહિના સુધી ખોદકામનો ટાર્ગેટતેમણે જણાવ્યું કે, આવનારા મે મહિના સુધી આ સાઇટ પર ખોદકામનો અમારો ટાર્ગેટ છે. સાઇટની ઉપર શેડ લગાવવાની પ્રોસેસ પણ ચાલી રહી છે. જેથી વરસાદમાં પણ માર્ટ બ્રિક્સના આ સ્ટ્રક્ચરને નુકસાન ન થાય અને ખોદકામની પણ કામગીરી ચાલુ રાખી શકીએ. સંતોષ કર્ણ આ સાઇટના સુપરવાઇઝર છે. ખોદકામ દરમિયાન કોઇ વસ્તુ મળે એ પછી તેનું શું થાય એ અંગે જણાવતાં તેમણે કહ્યું કે, અમને અહીંથી મોટા ભાગે માટીના વાસણનાં ટુકડાઓ, હાડકાંઓ, એ સમયે લોકો જે એન્ટીક્યૂટીઝનો ઉપયોગ કરતાં હતા તે મળે છે. 'આ મળ્યાં પછી અમે તેનું શોર્ટિંગ કરીએ છીએ ત્યાર પછી તેનું માર્કિંગ અને ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા થાય છે. જેના પછી રિસર્ચના ભાગરૂપે અમે એ જોઇએ છીએ કે, આ ટુકડાઓ કેવા પોર્ટનો ભાગ હોઇ શકે છે.'
ગુજરાતના નકશા પર એક એવું શહેર આકાર લઈ રહ્યું છે જે ભવિષ્યમાં સિંગાપોર જેવા આધુનિક શહેરોને પણ ઝાંખું પાડી દેશે. 920 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું Dholera Special Investment Region (DSIR) માત્ર એક ઉદ્યોગ નગરી જ નહીં, પણ વિશ્વકક્ષાનું સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને ‘ગુજરાતના બિગ પ્રોજેક્ટ’માં જાણો શું છે 'ધોલેરા SIR'ની ખાસિયતો.
CISF સાયક્લોથોન-2026:કોસ્ટલ સાયકલોથોનનું ગોપનાથમાં આગમન
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-2026નું તળાજા તાલુકાના ગોપનાથ ગામે આગમન થયું હતું. આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને CISF ભાવનગર યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ સાયકલ યાત્રાને કુમ કુમ તિલક કરીને તથા પુષ્પવર્ષા કરી વધાવી હતી. ગોપનાથ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દેશભક્તિના ગીતો વંદે માતરમ, ભવતું ભારતમ સહિતના ગીતો પર સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો. આ દેશ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણમાં જોશ અને ઉર્જાનો સંચાર કર્યો હતો CISF ના જવાનો અને ગામલોકો વચ્ચે યોજાયેલ વિવિધ રમતોમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તા.6 ફેબ્રુઆરી સાયકલ યાત્રા ગોપનાથ મહાદેવ મંદિરથી તળાજા, કોબડી, નારી ચોકડી, ધોલેરાથી વટામણ ચોકડીના રૂટથી આગળ પ્રસ્થાન કર્યું હતું. યાત્રામાં 50 ટકા જેટલી મહિલા સાયકલોવીરો નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણઆ તકે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારાની સાયકલ યાત્રાની ટીમે 28 જાન્યુઆરીએ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન કર્યું હતું. આશરે 6500 કિમી લાંબી આ યાત્રા 22 ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે સંપન્ન થશે. આ યાત્રામાં 50 ટકા જેટલી મહિલા સાયકલોવીરોની ભાગીદારીએ ‘નારી શક્તિ’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષામાં CISF ની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ સાયકલોથોન દ્વારા સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આખલાઓના ઝઘડવાથી મચી દોડધામ:ગારિયાધારમાં જાહેર માર્ગો પર રખડતા માલઢોરથી જનતા ત્રસ્ત
ગારિયાધારમાં રખડતા માલઢોરથી લોકો તોબા પોકારી ગયા છે. અનેક વખત આખલા ઝઘડવાને કારણે નાના મોટા અકસ્માતો થાય છે છતાં પણ તંત્ર દ્વારા આવા આખલાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. પાલિતાણા રોડ, નવાગામ રોડ ,મેઇન બજારમાં માલઢોર અડિંગો જમાવીને બેસે છે.મેઇન બજારમાં તો આખલા ઝગડે ત્યારે નાસભાગ મચી જાય છે તેમજ રોડ પર જ ગૈાશાળા હોય તેમ અડિંગો જમાવીને બેસે છે.તંત્ર દ્વારા આવા આખલાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર વહેલી તકે રખડતા માલઢોરને પકડવાની કાર્યવાહી કરે તેવી શહેરીજનોની માંગણી છે. હાલમાં રખડતા માલઢોરથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.અનેક વખત નાના મોટા અકસ્માતો થાય છે.તેમજ વાહનોને પણ આખલા ઝઘડે ત્યારે નુકશાન કરે છે.
લૂંટનો મામલો આવ્યો સામે:રતનપર ગામે સુપરવાઇઝરને મારી, 5 હજાર લૂંટ્યા
ઉમરાળાના રતનપર ગામમાં રહેતા શખ્સે પેનીલા કંપનીના સોલાર પ્રોજેક્ટના સુપરવાઇઝરને મારી રેતી કેમ ના ખરીદી તેમ કહી, ધોકા સાથે ધસી આવી, આતંક મચાવ્યો હતો અને બાદમાં ઉમરાળાના શખ્સે કંપનીના સુપરવાઝરને ઢીકા પાટુ તેમજ લાકડીના ધોકાથી ગંભીર મારમારી, સુપરવાઇઝરના ખીસ્સામાંથી 5000 રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ જતાં કંપનીના સુપરવાઇઝરે ઉમરાળાના રતનપર ગામના શખ્સ વિરૂદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરમાં નિર્ભય સોસાયટીમાં રહેતા અને પેનીલકા સોલાર કંપનીમાં સાઇડ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હરૂભા અભેસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આઠેક માસ અગાઉ તેમની કંપની દ્વારા ઉમરાળાના રતનપર ગામે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ હતો. જે દરમિયાન ઉમરાળાના રતનપર ગામનો શખ્સ કુલદિપસિંહ પરાક્રમસિંહ ગોહિલ કંપનીના સોલાર પ્રોજેક્ટના સ્થળ પર આવી, સુપરવાઇઝરને કહેલ કે, તમારા પ્લાન્ટમાં મારી રેતી, કપચી અને જે.સી.બી.નો ઉપયોગ કરવો પડશે. જે બાદ સુપરવાઇઝરે તેમની કંપની પાસેથી કપચી, રેતી સહિતના રૂપીયાની ચુકવણી કરેલ. તદ્ઉપરાંત દોઢેક માસ અગાઉ કુલદિપસિંહ પાસેથી ખરીદ કરેલ રેતીની ગુણવત્તા ખરાબ આવતા, કડીયા દ્વારા સુપરવાઇઝરને ફરિયાદ કરાઇ હતી. જેથી કંપની દ્વારા અન્ય સપ્લાયરની રેતી ખરીદ કરવામાં આવતા, રતનપર ગામનો કુલદિપસિંહ કંપનીના સ્થળ પર લાકડી સાથે ધસી આવી, સુપરવાઇઝર સાથે બોલાચાલી કરી, લાકડીના ધોકાથી મારમારી, સુપરવાઇઝરના ખીસ્સામાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ મચાવી, ગંભીર ઇજા કરી ફરાર થયો હતો જે બાદ હરૂભા અભેસિંહ ઝાલાએ રતનપરના કુલદિપસિંહ પરાક્રમસિંહ ગોહિલ વિરૂદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રતનપરમાં મંદિર બનાવવા ચાર લાખ રૂપિયા લીધેલાઉમરાળાના રતનપર ગામે રહેતો કુલદિપસિંહ પરાક્રમસિંહ ગોહિલના ગામે મંદિર બનાવવાનું હોય જેને લઇને પેનીલા કંપનીના સુપરવાઇઝર પાસે 11 લાખ રૂપિયાની મસમોટી રકમની માંગણી કરી હતી. જે બાદ કંપની દ્વારા આ શખ્સને ગામના આગેવાનોની હાજરીમાં ચાર લાખ રૂપિયા આપેલ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું.
મારમાર્યો:બસમાં બે શખ્સોએ મહિલાને મારમાર્યો
ભાવનગર જિલ્લાના નેસડા ગામની આધેડ મહિલા એસ.ટી. બસ મા જતા હોય બોટાદ એસટી ડેપોમાં જગ્યા બાબતે એક અજાણી મહિલા એ ઝઘડો કરી તેની સાથેના એક અજાણ્યા શખ્સે આધેડ મહિલાને માર માર્યો હતો. નેસડા ગામે રહેતા પ્લોટ વિસ્તારમાં રહેતા અશોકભાઇ માસાભાઇ હુંબલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના માતા દેવુબેન હુંબલ, દિકરી હેતાંશી તથા પુત્ર દિવ્ય ત્રણેય લોકો ભાવનગર-વાંકાનેર એસ.ટી. બસમા નેસડા ગામ ખાતેથી ચોટીલા ખાતે માતાજીના દર્શન કરવા માટે નીકળેલ હતા. જે દરમિયાન એસ.ટી. બસમાં હોલ્ટ આવતા તેમના માતા સહિત ત્રણેય લોકો બસની નીચે ઉતરેલ અને હોલ્ટ પુરો થતાં બસમાં તેઓ સીટ ઉપર બેસવા જતાં અજાણી મહીલા તેમની સીટ ઉપર બેસી ગયેલ. જે મહિલાને સીટ ઉપરથી ઉભા થઇ જવાનું જણાવતા અજાણી મહિલા અને અજાણ્યા પુરુષે દેવુબનને મારમારી, જાનથી મારી નાંખવાની ધમકી આપતા અશોકભાઇ મસાભાઇ હુંબલે બંન્ને શખ્સો વિરૂદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાશ મળી આવી:8 દિવસથી ગુમ થયેલા નેસવડના યુવકની લાશ મળી આવતા ચકચાર
ભાવનગર જિલ્લાના મહુવાના નેસવડ ગામે રહેતો એક યુવક આઠ દિવસ અગાઉ ઘરેથી નિકળી ગયો હતો. આજે સાંજના સુમારે તુલસી સોસાયટી નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. મહુવાના નેસવડ ગામે ઢોરા વિસ્તારની ઓળખાતી ખાણમાં આજે સાંજના સુમારે એક યુવકની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પાણીના ખાડામાં લાશ જોવા મળતા ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. જે બાદ મૃત હાલતે મળી આવેલ યુવક નેસવડ ગામના મહેશભાઇ અરજણભાઇ મકવાણાની હોવાની ઓળખ થઇ હતી અને જ્યાં તેમના પરિવારના સભ્યો પણ દોડી આવ્યા હતા. જે મામલે મૃતકના મોટાભાઇ કાનજીભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, તેમના નાના ભાઇ અને તેઓ એક જ ગામમાં રહે છે અને અલગ રહે છે. થોડાક દિવસ અગાઉ મહેશભાઇને પગે ફ્રેક્ચર થતાં કાનજીભાઇ તેમના ઘરે સાથે રહેવા લઇ આવેલા હતા અને બીજા દિવસે એટલે કે, ગત તા. 29-1-2026ના રોજથી મહેશભાઇ ઘરેથી નિકળી ગયા હતા અને પરિવારજનો દ્વાર તેમની શોધખોળ શરૂ કરાઇ હતી અને આજે અચાનક મહેશભાઇની લાશ મળી આવી હતી.
આધેડે કર્યો આપઘાત:આધેડે સ્યુસાઇડ નોટમાં બે લોકોના નામ લખી ગળાફાંસો ખાધો : PSI બારડ
ભાવનગર શહેરમાં રહેતા સ્ક્રેપના આધેડ વેપારીએ ગઇકાલે જમનાકુંડ વિસ્તારમાં આવેલ મસ્જીદમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે બાદ પોલીસને ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જે મામલે ગંગાજળિયા પોલીસ મથકના તપાસનીશ અધિકારી પી.એસ.આઇ. બારડે જણાવ્યું હતું કે, વેપારી આધેડે લાખો રૂપિયાની ઉઘરાણી પરત ન આવતા શહેરમાં રહેતા બે લોકોના નામ સ્યુસાઇડ નોટમાં લખ્યા છે. શહેરમાં શિશુવિહાર વિસ્તારમાં રહેતા અને સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્તુફાભાઇ આદમભાઇ જાકા (ઉ.વ.52) એ ગઇકાલે જમનાકુંડ વિસ્તારમાં આવેલ કે.જી.એન. મસ્જીદમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા વ્હોરી લેતા મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા. જે ઘટના બાદ પરિવારના સભ્યોને જાણ થતાં આભ ફાટી પડ્યું હતું અને કમાનાર વ્યક્તિનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જે ઘટના બાદ આ કેસની તપાસ કરી રહેલા ગંગાજળિયા પોલીસ મથકના પી.એસ.આઇ.એચ.પી. બારડે જણાવ્યું હતું કે, અમને રૂમાલમાં વીંટાળેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી અને આ સ્યુસાઇડ નોટમાં મોટી રકમ લેવાની નિકળતી હોય તેવા શહેરમાં રહેતા બે વ્યક્તિના નામ પણ મૃતક દ્વારા લખવામાં આવ્યા છે. હાલ આ બંન્ને વ્યક્તિઓને કારણે મુસ્તુફાભાઇએ આત્મહત્યા કરી હોય તેવું પ્રતિત થાય છે પરંતુ તપાસમાં જે કંઇ તથ્ય બહાર આવશે તે દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ મામલે પરિવારના સભ્યોએ પણ બે લોકોના ત્રાસથી આત્મહત્યા કરતા તંત્ર પાસે ન્યાય માંગ્યો છે.
8.93 લાખ વાહનો આવ્યા નવા નિયમના દાયરામાં:ભાવનગરમાં સરેરાશ રોજીંદા 33 વાહનોનો ફિટનેસ ટેસ્ટ
નવા અને જુના વાહનોના રજીસ્ટ્રેશનની સહિતની માહિતીનું ડીજીટલાઇઝેશન થતા લોકોની લોકોની સવલતોમાં વધારો થયો છે. દેશમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા તાજેતરમાં વાહનના ફિટનેસ સર્ટિફિકેટ માટેની ટેસ્ટિંગ ફીમાં વધારો વધારો કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને જૂના વાહનો માટે ફિટનેસ ટેસ્ટ 10 ગણો મોંઘો થવાની સાથે લગાડવામાં આવતા પેનલ્ટી દંડથી વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે વાહન ચાલકોમાં જાગૃતતા વધી છે ત્યારે ભાવનગર જિલ્લામાં હાલ રોજીંદા સરેરાશ 33 વાહનોનો ફિટનેસ ટેસ્ટ થઇ રહ્યો છે. નવા નિયમો હેઠળ વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટેની ટેસ્ટિંગ ફીમાં કરાયેલા વધારાથી 10 વર્ષથી જૂના વાહનોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વાહનોના ફિટનેસ ટેસ્ટના દરો વધતા ભાવનગર જિલ્લાની પ્રાદેશિક પરિવહન અધિકારી કચેરીમાં નોંધાયેલ 68,100 ટ્રાન્સપોર્ટ શ્રેણીના અને 8.25 લાખ નોન ટ્રાન્સપોર્ટ શ્રેણીના વાહનો નવા નિયમના દાયરામાં આવી ગયા છે. જેમાં 10 વર્ષ જુના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં કરવામાં આવતા વિલંબ સામે રોજીંદો રૂ.50નો દંડની જોગવાઇથી જુના વાહન ચાલકો ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટ કરાવી રહ્યા છે. નવેમ્બર 2025થી લાગુ વાહન ફિટનેસ ટેસ્ટ માટે નવા દરો (માહિતી સ્ત્રોત: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયનું નોટિફિકેશન) નવા નિયમોથી 10 વર્ષ જુના વાહનો ચાલકો પર ભારણ વધ્યુંજુના વાહનોના કારણે થતા પ્રદુષણ પર નિયંત્રણ લાવવાના ભાગરૂપે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે નવેમ્બર-2025માં પ્રસિદ્ધ કરેલા નોટિફિકેશનમાં 10 વર્ષથી જુના વાહનોને પણ આવરી લીધા છે. નવા નિયમ પહેલા 15થી 20 વર્ષ જુના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટ માટે વસૂલાતી રૂ.600થી 2500 સુધીની ફી વધારીને રૂ.1000થી 12500 કરી દેવાઈ છે. તેમજ 20 વર્ષથી જુના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટ માટેની ફી રૂ.2000થી 25000 કરી દેવાઈ છે. વધુમાં 10થી 15 વર્ષ જુના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટમાં રૂ.400થી 1000નો નવો દર ઉમેરી દેવામાં આવ્યો છે. જેથી એકંદરે નવા નિયમોથી 10 વર્ષ જુના વાહનો ચાલકો પર ભારણ વધ્યું છે.
નિમણૂક:ભાવનગર જિલ્લાની DIG હિતેશ જોયસરને જવાબદારી સોંપાઇ
રાજ્યના 35 જેટલા સિનિયર આઇ.પી.એસ. અધિકારીઓને જે તે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે અને પોલીસ સંબંધિત અરજીઓમાં થયેલી રજૂઆતો સાંભળી, અરજદારોને રૂબરૂ સાંભળી તેના પ્રશ્નોના નિરાકરણ લાવવા સુચનો કરાયા છે. જેને લઇને ડી.આઇ.જી. રેન્કના આઇ.પી.એસ. હિતેશ જોયશરને ભાવનગર જિલ્લાની જવાબદારી સોંપાઇ છે અને દર માસના એક સપ્તાહે જિલ્લાની પોલીસ મથકોની મુલાકાત લેવા આદેશ કરાયો છે. ગુજરાત રાજ્યમાં સરકાર સમક્ષ પોલીસ સંબંધીત ફરિયાદોમાં દિન પ્રતિદીન વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ગૃહ વિભાગને પણ મળતા પ્રશ્નો, રજૂઆતોને સંદર્ભે સંબંધિત પોલીસ તંત્રમાં સમયસર ઉકેલ આવતો નથી. જે મામલે ગૃહ વિભાગના અગ્રસચિવ નિપુર્ણા તોરવણે દ્વારા રાજ્યના 35 સિનિયર આઇ.પી.એસ.ને જિલ્લાઓની ફાળવણી કરાઈ છે. જેમાં ભાવનગર જિલ્લાની જવાબદારી ડી.આઇ.જી. રેન્કના આઇ.પી.એસ. અધિકારી હિતેશ જોયશરને જવાબદારી સોંપાઇ છે. તેમણે દર માસના પ્રથમ સપ્તાહે ભાવનગર જિલ્લાની મુલાકાત કરી, પોલીસ અધિકક્ષકની કચેરી, પોલીસ સ્ટેશન, SDPO કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમિયાન જીલ્લાના મહતમ પોલીસ મથકોની મુલાકાત કરી પોલીસ અધિકક્ષકની કચેરીઓ તરફથી મળતી અરજીઓ, સ્થાનિક કક્ષાએ આવેલ અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરાકરણ કરી, અરજદારને સંતોષ થયો છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે. જિલ્લા એસ.પી. અન રેન્જ IGને પોલીસ મથકોની મુલાકાત લેવા ગૃહ વિભાગ દ્વારા આદેશો કરાયા છે. ડીઆઈજી હિતેશ જોયશર 2011ની બેચના અધિકારી છે અને પોસ્ટીંગની રાહ જોઈ રહ્યા છે.
જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI)ના અમદાવાદ ઝોનલ યુનિટે રૂ. 800 કરોડથી વધુના બોગસ વ્યવહારો સાથે સંકળાયેલા બોગસ બિલિંગ નેટવર્કનો પર્દાફાશ હતો, આ કેસમાં ચાર મુખ્ય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસ સંબંધિત જીએસટી વિભાગે પણ તપાસ આદરી છે અને તેના તાર ભાવનગર સાથે જોડાયા છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, મુંબઈ અને ચંદ્રપુર સહિત અનેક શહેરોમાં ફેલાયેલું આ જટિલ રેકેટ, શેલ કંપનીઓ, બનાવટી ઓળખ અને વર્ચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વેબ દ્વારા બનાવવામાં આવ્યું હતું જે ફક્ત માલના વાસ્તવિક પુરવઠા વિના છેતરપિંડીપૂર્ણ વેરાશાખ ઉસેડવા માટે રચાયેલ હતું. અગાઉ બદ્રે આલમ પઠાણ અને તૌફિક ખાન, અમદાવાદની ધરપકડ કરવામાં આવી હતી. બીજા કેસમાં, જૂનાગઢમાં ભારત સેનિટરી એન્ડ ફિટિંગના ભાગીદાર હાર્દિક રાવલ અને ત્રીજા કેસમાં, અધિકારીઓએ જામનગરથી પટેલ મેટલ ક્રાફ્ટ LLPના ભાગીદાર જયદીપ વિરાણીની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં જીએસટીની ખોટી વેરાશાખ મેળવવા માટે કરવામાં આવેલા બોગસ બિલિંગ માટે રચવામાં આવેલી પેઢીઓ ભાવનગરના ભેજાબાજો દ્વારા ઉભી કરવામાં આવી હતી. ડીજીજીઆઇની તપાસ બાદ હવે જીએસટી વિભાગને 47 નકલી પેઢીઓ બોગસ દસ્તાવેજ વડે બનાવવામાં આવી હોવાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગ દ્વારા ખાનગીરાહે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ભેજાબાજો દ્વારા સમગ્ર દેશમાં બોગસ દસ્તાવેજો વડે બોગસ પેઢીઓની રચના કરી અને જીએસટી વેરાશાખના અનેક કાૈભાંડ આચરેલા છે અને હજુપણ જુદા જુદા કેસની તપાસ સમયાંતરે ભાવનગરમાં આવે છે.
જન પ્રતિનિધિઓનો કાર્યકાળ 9મી માર્ચે થશે પૂર્ણ:52 નગરસેવક હવે 30 દી’ના મહેમાન
ભાવનગર કોર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓનો કાર્યકાળ આગામી 9મી માર્ચે પૂર્ણ થાય છે. 5 વર્ષ પૂર્ણ થતા નવેસરથી ચૂંટણી યોજાશે. 9 માર્ચથી નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી થાય ત્યાં સુધી સરકાર દ્વારા વહીવટદાર મુકાશે અથવા તો કમિશનરને સત્તા સોંપવામાં આવશે. વર્તમાન 52 ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ 30 દિવસના મહેમાન છે. ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડમાં 52 નગરસેવકોનો આગામી 9 માર્ચે કાર્યકાળ પૂર્ણ થશે. ત્યારબાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સહિત તમામ કમિટીની સત્તા પણ પૂર્ણ થશે. ખાસ કરી શહેરના વિવિધ વિકાસ કામો અને ખર્ચની મંજૂરી સહિતની સત્તા સ્ટેન્ડિંગ કમિટી પાસે છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં આવી કામગીરી માટે ટેન્ડરની મંજૂરી માટે ખાસ વ્યવસ્થા નથી. આવશ્યક સેવા કે આકસ્મિક ખર્ચ માટે કમિશનરને આવી કામગીરીમાં ખર્ચ કરવાની સત્તા અપાય છે. જોકે ભાવનગર કોર્પોરેશનમાં 67/3(સી)હેઠળ આવશ્યક ખર્ચ કરવાની સત્તા કમિશનર પાસે છે. તેમજ હાલમાં ભાવનગર કોર્પોરેશનમાં વાર્ષિક ભાવો પણ મંજૂર છે જેથી જો બોડી ન હોય તો પણ કમિશનર દ્વારા મંજૂર થયેલા વાર્ષિક ભાવો મુજબ વિકાસ કામો કરાવી શકે છે. કોર્પોરેશનની વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ સરકાર દ્વારા કમિશનર કે કમિશનરની ઉપર વહીવટદારને ભાવનગર કોર્પોરેશનની સત્તા સોંપવામાં આવે તે આગામી દિવસોમાં નક્કી થશે. સત્તા સોંપણીમાં પણ નીતિવિષયક કે માત્ર સ્ટેન્ડિંગની સત્તા સોંપવી તે પણ સરકાર નક્કી કરી શકે છે. શાસકો પાસે ગણતરીના જ દિવસો બાકી હોવાથી જેટલો સમય છે તેટલા સમયમાં ભાવનગરના વિકાસને દેખાડવા માટે જથ્થાબંધ મંજૂરીની મહોર લગાવવામાં આવી રહ્યા છે. તેમજ 9મી માર્ચે મુદત પૂર્ણ થતી હોવાથી આ ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ બજેટ બેઠક પણ બોલાવવાની પૂરી શક્યતા છે. જેથી જ આગામી સ્ટેન્ડિંગમાં શિક્ષણ સમિતિનું અને કોર્પો.નું બજેટ મંજૂર કરાશે. કોર્પોરેશનની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાઇ શકેભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં SIRની પ્રક્રિયા ચાલી રહી છે અને 17 ફેબ્રુઆરીએ ફાઇનલ ઇલેક્ટોરલ જાહેર કરાશે. હાલ મતદારોના વાંધા-દાવાની સુનાવણી ચાલે છે જે 10 ફેબ્રુઆરી સુધી ચાલશે. SIR થયા બાદ નવી મતદાર યાદી રાજ્ય ચૂંટણી પંચને મોકલાશે. ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ નિર્ણય લેશે કે નવી મતદાર યાદી પ્રમાણે કે જૂની યાદી પ્રમાણે ચૂંટણી યોજવી. સંભવતઃ એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાઇ શકે છે. ભાવનગર કોર્પોરેશનમાં 44 વર્ષમાં 10 વહીવટદાર મુકાયામહાનગરપાલિકામાં વર્ષ 1982 થી 2026 દરમિયાન બોડીની મુદત પૂર્ણ થતી હોય અને નવી નિમણૂક થઈ ન હોય તે દરમિયાન 10 વહીવટદાર સરકારે મૂક્યા હતા. ભાવનગર કોર્પોરેશનમાં પણ વહીવટદાર મુકાશે કે કમિશનરને સત્તા આપશે તે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
વીજકાપ:મોતીતળાવ રોડ, આનંદનગર, શિશુવિહાર સર્કલમાં વીજકાપ
ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા શહેરમાં સોમવારથી મોતીતળાવ રોડ, આનંદનગર, શિશુવિહાર સર્કલ સહિતના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. PGVCL ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા વીજળીની લાઈનના સમારકામના અગત્યના કામ અનુસંધાને આગામી તા.9મી ફેબ્રુઆરી-2026 સોમવાર થી તા.11મી ફેબ્રુઆરી-2026 બુધવારે 11 કે.વી.ના મોતીતળાવ ફિડર (સિટી પાવર સ્ટેશન) અને હલુરિયા ફિડર (બંદર સ્ટેશન)માં ત્રણ દિવસ મરામતની કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરના 1 સુધી છ કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. વીજળીની લાઈનોની મરામતની કામગીરીથી તા.9મી ફેબ્રુઆરી-2026 સોમવારે 11 કે.વી. મોતીતળાવ ફિડર (આંશિક) નીચે આવતા મીલની માલી, રેલ્વે ફાટકથી પટેલ બોર્ડિંગ, ફોલ્ટ સેન્ટર સુધીનો તમામ વિસ્તારવીજકાપ લદાયો છે. તેમજ તા.10મી ફેબ્રુઆરી-2026 મંગળવારે 11 કે.વી. મોતીતળાવ ફિડર (આંશિક) નીચે મોતીતળાવ રોડ, બાળ સ્મશાનવાળા ખાંચો, કામાણી પ્લાસ્ટીક, કુંભારવાડા મોક્ષ મંદિર, કાદરી મસ્જીદ, પટેલ સોલ્ટની ઓફિસ, વિરમેઘનગર, કુંભારવાડા સ્મશાનથી કુંભારવાડા સર્કલ સુધીનો વિસ્તારમાં વીજકાપ લદાયો છે. આ ઉપરાંત તા.11મી ફેબ્રુઆરી-2026 બુધવારે 11 કે.વી. હલુરિયા ફિડર નીચેના ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ, આનંદનગર નવી એલ.આઈ.જી., વિમાન દવાખાનાથી દિપક ચોક સુધીનો વિસ્તાર, ડો.જોગદીયા હોસ્પિટલ, બોરડીગેટ પોલીસચોકી, દિપક ચોકથી શિશુવિહાર સર્કલ સુધીનો વિસ્તાર, શિશુવિહાર સર્કલથી બોરડીગેટ, દિપકચોક આજુબાજુના વિસ્તારમાં વીજકાપ રહેશે.
કોર્પોરેશનનો 631 કરોડ વેરો વસુલવાનો બાકી:જુની કર પદ્ધતિના ઘરવેરા-પાણીવેરાના 36.92 લાખ માફ કરાશે
ભાવનગર કોર્પોરેશનના આવકના મુખ્ય સ્ત્રોત તરીકે ઘરવેરો હોવા સાથે વર્ષોથી બાકી વેરા માટે વિવાદો પણ એટલા જ છે. હાલમાં પણ કારપેટ એરિયા કર પદ્ધતિના 427 કરોડનો અને જૂની કર પદ્ધતિના 204 કરોડ વેરો વસૂલવાનો બાકી છે ત્યારે લાંબા સમયથી ચાલતી ચર્ચાઓના અંતે જૂનીકર પદ્ધતિમાં 1000 સુધીની નાની બાકી રકમ ધરાવતા 6761 કરદાતાઓની 36.92 લાખની ડિમાન્ડ માંડવાળ કરવાનો દડો કમિશનરે સક્ષમ સત્તાના પટમાં નાખ્યો છે. જેનો આગામી સ્ટેન્ડિંગમાં નિર્ણય થશે. ભાવનગર કોર્પોરેશનમાં વર્ષ 1997 થી 2013 સુધી જૂની કર પદ્ધતિ હતી અને ત્યારબાદ કારપેટ એરિયા કર પદ્ધતિનો અમલ થયો છે. પરંતુ જૂનીકર પદ્ધતિમાં પાણી વેરો અને ઘરવેરો અલગ અલગ લેવામાં આવતા હતા. જૂનીકર પદ્ધતિમાં 2.40 લાખ જેટલા કરદાતાઓ છે. અને તેમની પાસેથી 204 કરોડ વસૂલવાના બાકી છે. પરંતુ કોર્પોરેશન દ્વારા જૂની કર પદ્ધતિનો હિસાબ કિતાબ ક્લિયર થાય તે માટે ચાર વર્ષનો વેરો ભરપાઈ કરે તો જૂની મુદ્દલ અને વ્યાજ માફ કરવાની યોજના પણ અમલમાં છે અને સતત મુદ્દત વધારવામાં આવી રહી છે. તેમ છતાં કરદાતાઓ નિષ્ક્રિય છે. આ વર્ષે પણ 1875 કરદાતાઓએ 2.40 લાખનો વેરો ભરપાઈ કર્યો છે. આમ કોર્પોરેશન દ્વારા જૂની કર પધ્ધતિ માટે યોજનાઓ લાવવા છતાં હિસાબ ક્લિયર થતો નથી અને કોર્પોરેશન પણ 204 કરોડની બાકી વસુલાતમાંથી બહાર આવતું નથી. તેવી જ રીતે જૂનીકર પદ્ધતિમાં નાની નાની રકમ બાકી હોય તેવા પણ અનેક કરતા ઓછી છે. કે જે રકમની વસુલાત પણ કોર્પોરેશનને મોંઘી પડે તેમ છે. 0 થી 1000 રૂપિયા સુધીની પાણી કર સહિતની નાની રકમ બાકી હોય તેવા 6,761 કરદાતાઓ છે. અને તેમનો રૂ.36,92,778 ની ડિમાન્ડ છે, જે વસુલવા કોર્પોરેશનને લાખો રૂપિયાના પગારદાર મેન પાવરને રોકવા પણ મુશ્કેલ છે. ત્યારે આ રકમ માંડવાળ કરવા માટે કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે અને આગામી 10મી ફેબ્રુઆરીએ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં તેનો નિર્ણય કરાશે. માંડવાળ માટે વિભાગો વચ્ચે વિસંગતતા, અંતે લીગલ અભિપ્રાયઘરવેરાની જૂની કર પદ્ધતિમાં 0 થી 1000 સુધીની પાણી ફી સહિત નાની બાકી રકમ માંડવાળ કરવા વિભાગ દ્વારા દરખાસ્ત કરતા પાણી ફી ની રકમ માંડવાળ કરવા વોટર વર્ક્સ અને લીગલ વિભાગના અભિપ્રાયમાં વિસંગતતા હતી. અંતે કોર્પોરેશનના પેનલ એડવોકેટનો અભિપ્રાય લીધા બાદ વસુલ ન થઈ શકે તેવા કર માંડી વાળવાની જોગવાઈ હોવાનું તારણ નીકળ્યું છે. જેથી હવે સક્ષમ સત્તા તેનો નિર્ણય કરશે. જુની કર પદ્ધતિના 48 કરોડ વેરો ભરે તો 156 કરોડ માફવર્ષ 2013 થી કારપેટ એરિયા કર પદ્ધતિથી વેરો વસૂલવામાં આવે છે. પરંતુ 1997થી અમલી બનેલ જુની કર પદ્ધતિનો 204 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. કોર્પોરેશન દ્વારા હાલમાં જૂનીકર પદ્ધતિમાં કરદાતાઓ માટે યોજના અમલમાં મૂકેલી છે. જેમાં બાકી વેરાના 205 કરોડ પૈકી અંદાજે 49 કરોડ જેટલા ભરપાઈ કરવામાં આવે તો 1997 થી 29 સુધીનું મુદ્દલ અને વ્યાજ સહિત રૂ.155 કરોડ માફ થઈ શકે તેમ છે. પરંતુ તંત્ર દ્વારા વર્ષોથી સ્કિમ અમલમાં હોવા છતાં કરદાતાઓ દ્વારા તેનો લાભ લેવામાં નિરસતા છે. ફેક્ટ ફાઈલ
ઠગાઈનો મામલો આવ્યો સામે:જમીનનો સોદો કર્યા બાદ નવીમાંથી જૂની શરતમાં ફેરવવાનું કહી 10 કરોડ પડાવ્યા
કોસાડની જમીનનો સોદો કરીને નવીમાંથી જુની શરતમાં તબદીલ કરીને કબજો આપવાના બહાને કાકા- ભત્રીજા સહિત ત્રણ જણાએ જમીન વ્યવસાયી પાસેથી 10.87 કરોડ પડાવ્યાની ફરિયાદ અલથાણ પોલીસમાં નોંધાઇ છે. અડાજણ રહેવાસી હિમાલય અને તેના પિતા જયંત કળથીયા જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અલથાણ પંચવટી સોસાયટીમાં રહેતા જમીન દલાલ જીતેન્દ્ર સેંધાણી અને તેનો ભત્રીજો વિશાલ સેંધાણી અને તેના ભાગીદાર અશોક ગોયાણીએ વર્ષ 2022માં જયંતને કોસાડની જમીન બતાવી આ જમીન મુળ માલિક જયંતિભાઇ આહિર પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું. 14 કરોડમાં સોદો થતાં જમીન નવી શરતની હોય તેને જુની શરતમાં તબદીલ કરવાની બાંયધરી ટોળકીએ એ આપી હતી. જયંતિએ પોતાની પ્રોપર્ટી અને રોકડા સહિત 10.87 કરોડ ટોળકીને આપ્યા હતા. જમીનના દસ્તાવેજ માટે અનેક વખત કહેવા છતાં તે બહાના બનાવતા હતા. જયંતિભાઇએ મુળ માલિકનો સંપર્ક કરતા તેણે ટોળકીને તેમને કોઇ પૈસા ન આપતા સોદો રદ કર્યાનું જણાવ્યું હતું. જયંતિકુમારે સોદો રદ કરીને રૂપિયા પરત માંગ્યા હતા. ત્રણેય ધમકી આપતા રૂપિયા ન આપત ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. આરજો મારજો કરીને મિલકત લીધીટોળકીએ કોસાડની જમીનના સોદામાં રોકડા અને જયંતિકુમાર પાસેથી 10 દુકાનો, 4 પેન્ટ હાઉસ, 11 ફ્લેટ અને 6 મકાનો મળીને કુલ રૂ.9.86 કરોડની મિલકતનો દસ્તાવેજ કરાવી લીધા હતા. સરકારમાં ભરવાના બહાને રૂપિયા ઉસેટ્યાજીતેન્દ્રએ જુની શરતમાંથી નવી શરતમાં જમીન તબદીલ કરવાની પ્રક્રિયા શરૂ કર્યાનું જણાવ્યું હતું. બાદમાં જમીનનું પ્રિમિયમ ભરવા સહિતના ખર્ચ હોવાનું કહીને પૈસા પડાવવાનું શરૂ કરી દીધું હતું.
રત્નકલાકારનું થયું મોત:છાતીમાં દુખાવો થયા બાદ 31 વર્ષીય રત્નકલાકાર ઢળી પડ્યો
અચાનક બેભાન થયા બાદ વધુ બે યુવાનોના મોત થયા છે. જેમાં વરાછામાં છાતીમાં દુ:ખાવા બાદ બેભાન થયેલા યુવાન રત્નકલાકારનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ગોડાદરામાં સ્કૂલવેન ચાલક યુવાનનું ઘરે અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. બન્ને યુવાનોનું હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. જેતપુરના વતની અને વરાછા ભગીરથ સોસાયટી ખાતે રહેતા 31 વર્ષીય પાર્થીવ કાળુભાઈ સગર હીરાના કારખાનામાં કામ કરી એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શુક્રવારે અચાનક છાતીમાં દુ:ખાવો થયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સ્મીમેર લઇ જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકથી તેમનું મોત થયાની શક્યતા વ્યકત કરાઇ છે. બીજા બનાવમાં ગોડાદરા પ્રિયંકા મેટ્રોસિટી ખાતે રહેતા 41 વર્ષીય દિલીપભાઈ પટેલ સ્કૂલવેન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શુક્રવારે અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનું પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર સરથાણાના 17મા પાટોત્સવ નિમિત્તે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે અધ્યક્ષસ્થાનેથી સત્સંગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કદાચ કોઈ વ્યક્તિમાં ખામી હોઈ શકે પણ સત્સંગમાં ક્યારેય કોઈ ખામી હોતી નથી. પ્રત્યેક સત્સંગ સભા અક્ષરધામની સભા કહેવાય સત્સંગમાં બેઠેલા તમામ ભક્તો અક્ષરધામના મુક્ત છે. ભગવાનના સંતો અને ભક્તો એવું પવિત્ર જીવન જીવે છે તેની પ્રત્યેક ક્ષણ પ્રભુમય હોય છે.માણસના જીવન નું મૂલ્ય તેના સંગ ઉપરથી નક્કી કરી શકાય છે. પાંચ મણ દૂધમાંથી સરસ મજાનો દૂધપાક તૈયાર કરવામાં આવે અને તેમાં એક ટીપું ઝેર પડી જાય તો તેને તાત્કાલિક ફેંકી દેવો પડે કારણ કે દૂધને ઝેરનો સંગ થયો છે તેવી રીતે ગમે તેટલો બુદ્ધિશાળી વ્યક્તિ હોય અને તેનો સંગ યોગ્ય ન હોય તો પોતાના કલ્યાણ માટે કાંઈ કરી શકતો નથી. શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે મધમાખી જેવી દ્રષ્ટિ રાખવી જ્યાં બેસે ત્યાંથી મીઠાશ લાવે. સમૂહ પારાયણ, ભકિતસંગીત, બાળકોનું સન્માન કરાયુંઆ પ્રસંગે પારાયણની મહાપૂજા, ‘’જીવનપ્રાણ અબજીબાપાની વાતો’’ની સમૂહ પારાયણ, ભક્તિસંગીત, વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર બાળકોનું સન્માન, વગેરે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. ઘનશ્યામ મહારાજનું ષોડશોપચારથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું. સંતો-ભક્તોએ તૈયાર કરેલા વ્યંજનોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
મુંબઈ અમદાવાદ હાઈવે પલસાણા ખાતે 41 વીઘા જમીનમાં ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને રાજસ્થાન સાલાસાર બાલાજી હનુમાન મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ અને મંદિરમાં બિરાજતા ભગવાનના સાક્ષાત સ્વરૂપ નિર્માણ થશે. ઉજ્જૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પ્રદીપ ગુરુજીએ જણાવ્યું હતું કે સુરતમાં સમગ્ર ભારતના તમામ રાજ્યોમાંથી આવીને લાખો લોકો સ્થાયી થયા છે. ભગવાન મહાદેવના બાર જ્યોતિર્લિંગમાંનું એક મહાકાલેશ્વર છે તેની સાથે કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે તેવી જ રીતે રાજસ્થાનના સાલાસર હનુમાનજી સાથે પણ કરોડો લોકોને શ્રદ્ધા જોડાયેલી છે. લગભગ સુરતના દરેક વ્યક્તિ વર્ષમાં એક વખત આ બંને મંદિરે દર્શન કરવા જતા હોય છે પરંતુ તે બંને મંદિરોનું નિર્માણ સુરતમાં થઈ રહ્યું છે ત્યારે સુરતના અને સુરત નજીકના વિસ્તારની લગભગ એક કરોડથી વધારે જનતાની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાશે. મહાકાલેશ્વર સાલાસર હનુમાન સેવા ટ્રસ્ટના અધ્યક્ષ સત્યનારાયણ ગોયલે જણાવ્યું હતું કે લગભગ છેલ્લા બે વર્ષથી તૈયારીઓ થઈ રહી છે. 400 કરોડનો પ્રકલ્પ હોવાથી તૈયારી માટે પણ વધારે સમય લાગે પરંતુ ટ્રસ્ટી મંડળ અને હોદ્દેદારોનો ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.29 એપ્રિલ 2026 ના રોજ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન થશે જેમાં સમગ્ર દેશમાંથી વિવિધ સંસ્થા અને સંપ્રદાયના સંતો મહંતો,રાજકીય, સામાજિક આગેવાનો ખાસ હાજરી આપશે. ત્રણ વર્ષે તૈયાર થશેકોષાધ્યક્ષ રવિ કપૂરએ જણાવ્યું હતું કે, 11 વીઘામાં અતિથિગૃહ,ધ્યાન કેન્દ્ર અને ગૌશાળા બનશે. ભક્તો માટે રહેવા, જમવાની વ્યવસ્થા પણ કરાશે. ઉજ્જૈનના મહાકાલ મંદિર જેવું ગર્ભગૃહ તૈયાર થશે. મહાકાલેશ્વરને સ્થાપિત કરાશે. 2029 સુધી મંદિર દર્શનાર્થે મૂકાય તેવી તૈયારી છે. ઉજ્જૈન જેવો જલકુંડ પણ બનાવાશે500 ગાયોની ગૌશાળા બનશે, 1000 બાળકો રહીને સનાતન સંસ્કૃતિ નો અભ્યાસ કરી શકે તેવી અધ્યાત્મિક યુનિવર્સિટી તૈયાર થશે. મંદિર નિર્માણ થશે તેમાં ત્રણ રાજ્યનો સમન્વય જોવા મળશે.આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતનું આ પ્રથમ એવું મંદિર હશે જેમાં બે રાજ્યોના અલગ અલગ શ્રદ્ધા કેન્દ્ર એક જગ્યાએ નિર્માણ થતા હોય અને એ પણ ત્રીજા રાજ્યમાં એટલે કે મધ્યપ્રદેશના મહાકાલ, રાજસ્થાનના સાલાસર બંને ભગવાનના મંદિર ગુજરાતમાં નિર્માણ થશે .
વિશ્વ કેન્સર દિવસની અનોખી ઉજવણી:કેન્સરને હરાવનાર 10 બાળકીઓની ચિત્ર સ્પર્ધા,100 મહિલાનું રસીકરણ
નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટરઅને ‘ભરત કેન્સર હોસ્પિટલ’’ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં કેન્સર પ્રત્યેનો ડર દૂર કરી, વહેલા નિદાન અને સાવચેતીનો સંદેશ સાથે કેન્સર જનજાગૃતિ સેમિનાર, રક્તદાન શિબિર અને આર્ટ થેરાપી જેવા માનવીય અભિગમ સાથે રોગ સામે લડવા માટે દર્દીઓને પ્રેરિત કરાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ પ્રદર્શનને સૌએ નિહાળ્યું હતું. કેન્સર અવેરનેસ સેશનમાં કેન્સરના નિદાન, લક્ષણો અને આધુનિક સારવાર પદ્ધતિઓ વિષે 250થી વધુ નાગરિકોએ ભાગ લઈ તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું. મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને HPV વેક્સિનના 100 ડોઝ નિશુલ્ક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા રક્તદાન શિબિરમાં રકતદાતાઓએ 35 યુનિટ રક્તનું દાન કર્યું હતું. કેન્સર સામેની જંગ જીતેલ 10 બાળકોની પેઇન્ટિંગ સ્પર્ધા યોજી તેમના મનોબળને મજબૂત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ અભિયાન અંતર્ગત દર્દીઓ અને સહભાગીઓ માટે ‘’આર્ટ થેરાપી’’ સેશન યોજાયું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કેન્સર એ અસાધ્ય નથી, પરંતુ જો તેનું સમયસર નિદાન કરવામાં આવે તો તેને ચોક્કસપણે હરાવી શકાય છે. સેવા અને જાગૃતિ દ્વારા કેન્સર સામે લડવાના અમારા પ્રયાસો છે. સર્વાઇકલ કેન્સરની વેક્સિનથી કેન્સરનો પ્રતિકાર કરી શકાય છે
જીટીયુએ કોલેજોને અલ્ટીમેટમ આપી દીધું:‘ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન આપો, નહીં તો માન્યતા રદ કરાશે’
NEP-2020ના અમલીકરણમાં આળસ દાખવતી કોલેજો સામે GTUએ લાલ આંખ કરી છે. કાગળ પર માત્ર ડિગ્રી વહેંચતી સંસ્થાઓએ હવે વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટેનો ‘ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન’ (IDP) જાહેર કરવો પડશે. અત્યાર સુધી માત્ર 11 કોલેજોએ જ જાગૃતિ દાખવી છે, જ્યારે બાકીની સંસ્થાઓ હજુ ઘોર નિદ્રામાં છે. 15 ફેબ્રુઆરી સુધીમાં વેબસાઇટ પર પ્લાન અપલોડ નહીં કરનાર કોલેજોએ ભારે દંડ અને જોડાણ રદ થવા જેવી કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. IDP એટલે સંસ્થાનો વિકાસ માટેનો નકશો છેIDP એટલે ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન, જે શૈક્ષણિક સંસ્થા માટે આગામી વર્ષોનો ગ્રોથ મેપ છે. જેમાં કોલેજે નક્કી કરવાનું હોય છે કે તેઓ માત્ર થિયરી બદલે પ્રેક્ટિકલ અને સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન કેવી રીતે આપશે. NEP-2020 અંતર્ગત દરેક કોલેજે શૈક્ષણિક સ્તર, માળખાગત સુવિધા અને સંશોધન ક્ષેત્રે કયા લક્ષ્યાંકો હાંસલ કરવા તે આયોજન કાગળ પર રજૂ કરવું પડે છે.
નોકરી ન્યુઝ:PNBમાં 5,138 એપ્રેન્ટિસની જગ્યા, રૂ.15 હજાર સ્ટાઈપેન્ડ
બેંકિંગ સેક્ટરમાં કારકિર્દી ઈચ્છતા ગ્રેજ્યુએટ યુવાનો માટે પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા દેશભરમાં 5,000થી વધુ એપ્રેન્ટિસની જગ્યા ભરાશે. 8થી 24 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે. શહેરો મુજબ અલગ-અલગ સ્ટાઈપેન્ડ PNB દ્વારા પસંદગી પામેલા એપ્રેન્ટિસને એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે. આ દરમિયાન મેટ્રો સિટીમાં કામ કરતા ઉમેદવારોને રૂ. 15,000 અને ગ્રામીણ કે શહેરી વિસ્તારના ઉમેદવારોને રૂ. 12,300 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ઉમેદવારોએ pnb.bank.in પર જઈ Employment Opportunities સેક્શનમાં PNB Apprentice Program 2025-26 લિંક પર ક્લિક કરી જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. જરૂરી લાયકાત
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાનની મસ્જિદમાં બ્લાસ્ટ થવાના રહ્યા. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે. બીજા મોટા સમાચાર એ છે કે ભારત છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી બે દિવસ મલેશિયાની મુલાકાતે જશે. વડાપ્રધાન તરીકે આ તેમનો ત્રીજો મલેશિયા પ્રવાસ હશે. 2. ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસ છત્તીસગઢના પ્રવાસે રહેશે. તેઓ નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે. કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાનમાં શિયા મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન બ્લાસ્ટ:આત્મઘાતી હુમલામાં 31નાં મોત, 169 લોકોની હાલત ગંભીર; ઇસ્લામાબાદમાં ઇમરજન્સી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના શુક્રવાર(જુમ્મા)ની નમાઝ દરમિયાન શિયા મસ્જિદ (ઇમામબાડા)માં આત્મઘાતી હુમલો થયો. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, આ હુમલામાં 31 લોકોનાં મોત થયા છે અને 169 લોકોની હાલત ગંભીર છે. જો કે અગાઉ પાક.મીડિયામાં 69 લોકોના મોત થયાના અહેવાલ જાણવા મળી રહ્યા હતા. પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ધમાકા બાદ ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટીમ ઈન્ડિયા U19 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ચેમ્પિયન:ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યું; વૈભવ સૂર્યવંશીએ વિક્રમી 80 બોલમાં 175 રન ફટકાર્યા ભારતે છઠ્ઠીવાર U-19 વર્લ્ડ કપ જીતી લીધો છે. શુક્રવારે ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડ પર 100 રનથી શાનદાર જીત મેળવી હતી. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 411 રન બનાવ્યા હતા. ઈન્ડિયન ઓપનર વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 175 રન બનાવ્યા હતા. કેપ્ટન આયુષ મ્હાત્રેએ 53 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી સેબેસ્ટિયન મોર્ગન અને એલેક્સ ગ્રીને 2-2 વિકેટ ઝડપી હતી. 412 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમ 40.2 ઓવરમાં 311 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આર.એસ અંબરીશે 3 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ માટે કાલેબ ફોલ્કનરે 115 રન બનાવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. AAP નેતા ગુરુદ્વારામાંથી નીકળ્યા ને મોત મળ્યું:મૂસેવાલા સ્ટાઇલમાં જલંધરમાં મર્ડર; શેરુ ગ્રુપના શાર્પ શૂટરોએ 6 ગોળી ધરબી દીધી; કોંગ્રેસે ભગવંત માનને નબળા CM ગણાવ્યા પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટીના નેતા લક્કી ઓબેરોયની 6 ફેબ્રુઆરીની સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. તેઓ 53 વર્ષના હતા. સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ તેમને 6 ગોળી મારી. 5 છાતીમાં અને એક ગોળી માથામાં વાગી. લક્કી ઓબેરોય મોડલ ટાઉન વિસ્તારમાં ગુરુદ્વારામાં માથું ટેકવવા આવ્યા હતા. જેવા તેઓ ગુરુદ્વારામાંથી નીકળીને પોતાની થાર ગાડીમાં બેસવા લાગ્યા ત્યારે બદમાશોએ તેમના પર આડેધડ ગોળીબાર કર્યો. પરિવારજનો તેમને ગંભીર હાલતમાં મોડલ ટાઉનની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિવારને વિશ્વાસ ન થયો, તેથી તેઓ તેમને શહેરની શ્રીરામ હોસ્પિટલમાં લઈ ગયા. અહીં પણ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. દિલ્હી જલ બોર્ડે ખોદેલા ખાડામાં બાઇક સવાર ખાબક્યો, મોત:પરિવારને હત્યાની શંકા, વિભાગ પર પણ બેદરકારીનો આરોપ લગાવ્યો દિલ્હીમાં નિર્માણાધીન રસ્તા પર ખાડામાં પડી જવાથી મોટરસાયકલ સવારનું મૃત્યુ થયું. આ ખાડો દિલ્હી જલ બોર્ડે ખોદ્યો હતો. પોલીસે શુક્રવારે જણાવ્યું કે પશ્ચિમ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં ગુરુવારે રાત્રે આ અકસ્માત થયો હતો. પીડિતના પરિવારે દિલ્હી જલ બોર્ડ (DJB) પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારને શંકા છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ દર્શાવે છે કે ખાડો DJBની કન્સ્ટ્રક્શન સાઇટ પર ખોદવામાં આવ્યો હતો અને તેને બેરિકેડ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના અંગે સવારે લગભગ 7 વાગ્યે કોલ મળ્યો હતો. તેમણે જણાવ્યું કે મૃતદેહ ખાડાની અંદર તેની મોટરસાયકલ સાથે મળ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. મણિપુરમાં નવા ડેપ્યુટી સીએમના વિરોધમાં હિંસા ફાટી નીકળી:પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોને બેરકમાં ધકેલવાનો પ્રયાસ કર્યો; ટાયર સળગાવ્યા, પથ્થરમારો કર્યો મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં ગુરુવારે સાંજે હિંસા ફાટી નીકળી. નવા નાયબ મુખ્યમંત્રીઓ નેમચા કિપગેન અને લોસી દિખોના શપથ ગ્રહણ સામે વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. જિલ્લાના તુઇબોંગ મેઈન માર્કેટ વિસ્તારમાં સેંકડો યુવા પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોને તેમની બેરેકમાં પાછા ધકેલવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષા દળોએ વાત માનવાનો ઇનકાર કર્યો, ત્યારે પથ્થરમારો શરૂ થયો. કેટલાક લોકોએ રસ્તાની વચ્ચે ટાયર સળગાવ્યા. આદિવાસી સંગઠન જોઈન્ટ ફોરમ ઓફ સેવને કુકી- પ્રભુત્વ ધરાવતું ચુરાચંદપુરમાં શુક્રવારે સવારે 6 થી 12 કલાકના બંધનું એલાન કર્યું છે. જ્યારે, કેટલાક સંગઠનોએ નેમચા કિપગેન, ધારાસભ્યો એલએમ ખાઉતે, એન સેનાતેને મારનારને 20 અને 10-10 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત યુનિ.ના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત:NSS કેમ્પમાં આવેલી સ્ટુડન્ટે ગળે ફાંસો ખાધો, મૂળ બોટાદની યુવતી અમદાવાદની એલડી આર્ટ્સમાં ભણતી ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. NSS કેમ્પમાં આવેલી 21 વર્ષીય મહેશ્વરી ખાચર નામની વિદ્યાર્થિનીએ NRI હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસના રૂમની બારીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિદ્યાર્થિનીએ કયા કારણતી આપઘાત કર્યો તેની તાપસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ મૂળ બોટદની વતની અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય મહેશ્વરી ખાચર એલ.ડી. આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. NSS કેમ્પ ચાલી રહ્યો હોવાથી વિદ્યાર્થિની યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. છરીના 30 ઘા મારીને હત્યા કરનાર વિદ્યાર્થીને આજીવન કેદ:શિક્ષકે ઠપકો આપ્યો તો ધો-10ના સ્ટુડન્ટે સ્કૂલ બંધ કરાવા પતાવી દીધો'તો, વડોદરા ચિલ્ડ્રન કોર્ટનો ચુકાદો વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ સ્કૂલમાં વર્ષ 2018માં બે દિવસ પહેલા જ અભ્યાસ કરવા માટે આવેલ વિદ્યાર્થી ઉપર સિનિયર વિદ્યાર્થીએ છરીના 30 ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં ચિલ્ડ્રન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શિક્ષકે ઠપકો આપ્યો તો ધો-10ના સ્ટુડન્ટે સ્કૂલ બંધ કરાવા ધો. 9ના વિદ્યાર્થીને પતાવી દીધો હતો. વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શાળામાં 22 જૂન 2018માં દેવ ભગવાનદાસ તડવીએ ધો-9માં એડમિશન લીધું હતું. એડમિશન લીધાના બે દિવસ બાદ જ શાળાના શૌચાલયમાં ધો-10માં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીએ દેવ ઉપર ઉપરા છાપરી છાપરી ચાકુના 30 ઘા માર્યા હતા અને દેવની હત્યા કરી નાખી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મોદીએ કહ્યું, પંચતંત્રની ગેમ બનાવો:'પરીક્ષા પે ચર્ચા'માં સ્ટુડન્ટને PMએ પાઠ ભણાવ્યા, કહ્યું- માર્ક્સની બીમારી ફેલાઈ ગઈ છે, તમને છેલ્લા વર્ષના ટોપર્સનાં નામ યાદ છે? વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : યુવતીઓને બળજબરીથી ગર્ભવતી કરાવી:જાતીય સંબંધો દરમિયાન મહિલાઓનું ગળું દબાવ્યું, મૃતદેહ ફાર્મ હાઉસમાં દફનાવ્યા; એપસ્ટીનની નવી ફાઇલોમાં દાવો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર 3 નક્સલવાદી ઠાર:ગઢચિરોલીમાં શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર; પરિવારે અંતિમ વિદાય આપી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાની PM બોલ્યા- કાશ્મીર PAKનો હિસ્સો બનશે:કાશ્મીરીઓ સાથે મજબૂતીથી ઊભા છીએ, આ વિસ્તાર પાકિસ્તાનની લાઇફલાઇન છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : RBIની બેંકો સામે લાલ આંખ:લોન-રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે:ગ્રાહકોને ડરાવી-ધમકાવી શકશે નહીં, ડિજિટલ ફ્રોડ પર ₹25,000 વળતર મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : હર્ષિત રાણા T20 વર્લ્ડ કપમાંથી બહાર:પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થયો, સિરાજનું 556 દિવસ પછી કમબેક; કાલે અમેરિકા સામે પહેલી મેચ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પ્રેરક કથા:ઘણી વાર સફળતા તરત મળતી નથી, તેથી હાર ન માનો; ધીરજ રાખનાર વ્યક્તિ જ સફળ થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ દુનિયાનો સૌથી લાંબો જંગલી સાપ ઈન્ડોનેશિયામાં દુનિયાનો સૌથી લાંબો સાપ મળ્યો છે, જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. આ અજગર 23 ફૂટ 8 ઈંચ લાંબો છે. સામાન્ય રીતે આવા જંગલી સાપોની લંબાઈ 9 ફૂટથી 19 ફૂટની વચ્ચે હોય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: '2030 સુધીમાં ભારત સહિત દુનિયામાં 2.2 કરોડના મોત થશે', તેમાં 54 લાખ બાળકો; અમેરિકા-બ્રિટન ટાળી શક્યા હોત, મદદ કેમ રોકી? 2. ફિલ્મી ફેમિલી : 'બોર્ડર' જોતાં થિયેટરમાં 59 લોકો જીવતા ભૂંજાયા: ડિરેક્ટરના ભાઈ ફાઇટર પ્લેન ક્રેશ થતાં શહીદ થયા, 'સંદેશે આતે હૈ...'ના રેકોર્ડિંગમાં સંગીતકારના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું 3. કોમનવેલ્થ પહેલાં આ સ્પોર્ટ્સ કોર્સ કરી લો, કરિયર બની જશે: મહિને 30 હજારથી 30 લાખ સુધીની આવક, 10થી 15 નવા કોર્સ કરીને વ્હાઇટ કોલર જોબ મળી જશે 4. ન બજેટમાં કાંઈ, ન કંપનીઓએ સાંભળ્યું; શું અમે રોબોટ છીએ?: ગિગ વર્કર્સ- એક્સિડન્ટ થાય તોપણ 12-13 કલાક કામ કરો; સરકાર આંધળી-બહેરી થઈ 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : હિરોઇન દીકરીને પિતા જ પ્રોસ્ટિટ્યૂટ માનતા!: કંટાળેલી 'બાલિકાવધૂ' 2 બોટલ દારૂ પીને ફાંસે લટકી ગઈ, સેંથો પૂરેલી લાશ અને ગર્ભપાતે શંકાની સોય બોયફ્રેન્ડ તરફ વાળી 6. બાંગ્લાદેશથી ભાસ્કર હિન્દુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન સંગઠન હસીનાનાં પાલતું કૂતરાં છે: સેક્યુલરિઝમ દૂર થશે, શરિયા નહીં આવે; યુનુસના સલાહકાર બોલ્યા, ભારત અમને ભુતાન ન સમજે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ રાશિના જાતકોના મિલકતના વિવાદો ઉકેલાશે, કન્યા રાશિના લોકોને અચાનક ધનલાભનો યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
પાલિકા અને શિક્ષણ સમિતિના ડ્રાફ્ટ બજેટને શનિવારે સ્થાયી સમિતિ સુધારા-વધારા સાથે રજૂ કરશે. ચૂંટણી વર્ષ હોવાથી શાસકો બજેટના કદમાં ધરખમ વધારો કરશે. કમિશનર એમ. નાગરાજને રજૂ કરેલા 10,693 કરોડના બજેટમાં 500 કરોડનો વધારો કરી કુલ બજેટને 11,000 કરોડની ઐતિહાસિક સપાટીએ લઈ જઈ શકે છે. બજેટમાં નવા વેરા નાખ્યા વગર સુવિધાઓની લહાણી કરાશે. સ્થાયી અધ્યક્ષ ફાઈનલ બજેટ સત્તાવાર રીતે રજૂ કરશે. શિક્ષણ-આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર નવા બ્રિજ-પ્રોજેકટો અને સુવિધાઓમાં ઉમેરો કરાશેશુક્રવારે દિવસભર ચાલેલી સ્થાયી સમિતિની મેરેથોન બેઠકમાં શહેરના ટ્રાફિક અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાયી સમિતિ દ્વારા નવા બ્રિજોના નિર્માણ માટેની જોગવાઈઓ બજેટમાં ઉમેરવામાં આવી છે તેમજ કેટલાક પ્રોજેકટો અને સુવિદ્યાઓમાં પણ ઉમેરો કર્યો હોવાની માહિતી સાંપડી છે.
પાલિકોનો નવો ફતવો:રોડ ખોદનારા કોન્ટ્રાક્ટરે જ ટ્રેન્ચનું રિપેરિંગ કરવું પડશે
પાણી-ગટર માટે રસ્તા ખોદી માટી પુરીને પલાયન થઈ જતાં કોન્ટ્રાક્ટરો પર હવે લગામ લાગશે. પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે કમિશનરને મહત્વની નોંધ પાઠવી છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે, હવેથી કોઈ પણ પ્રોજેક્ટમાં રોડ ખોદકામ બાદ તેનું રિપેરિંગ કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે ઇજારદારોની જ રહેશે. સ્થાયી અધ્યક્ષના આ આદેશ બાદ હવે આગામી દિવસોમાં બહાર પડનારા હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના તમામ ટેન્ડરોમાં આ કડક શરતોનો અમલ શરૂ પણ કરી દેવામાં આવશે. નવા નિર્ણયના મુખ્ય મુદ્દા
વેધર રિપોર્ટ:પારો 3.8 ડિગ્રી ગગડી 19 થતાં રાત્રે ફરી હળવી ઠંડીની અસર
શહેરમાં એક જ દિવસમાં રાતનું તાપમાન 4 ડિગ્રી સુધી ગગડી જતાં ફરી એક વાર રાતે હળવી ઠંડીની અસર વર્તાઇ હતી. આગામી બે દિવસ 19થી 20 ડિગ્રીની આસપાસ જ લઘુતમ તાપમાન રહેશે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં લઘુતમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો ઘટાડો થતાં રાતે હળવી ઠંડીની અસર વધી છે. જો કે દિવસનું તાપમાન યથાવત રહ્યું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 82 ટકા અને સાંજે 52 ટકા નોંધાયું હતું. પશ્ચિમ દિશા તરફથી 4 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા.
ઇડીએ કમલ 37નો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો:વિદેશનાં રોકાણ નહીં બતાવનારાની એટલી જ સંપત્તિ દેશમાં સીઝ કરાશે
વિદેશના રોકાણ આઇટી રિટર્નમાં ન બાતાવ્યુ હોય કે આરબીઆઇની ગાઇડલાઈનનો ઉપયોગ કર્યો ન હોય તેવા કેસમાં ઇડીએ બિલોરી કાચ મૂક્યો છે. સાથે જ હવાલા મારફત જે ફંડ વિદેશ ગયું છે તેવા કેસ પણ શોધાઈ રહ્યા છે. સામાન્ય રીતે વિદેશમાં રોકાણ બાદ હવાલા ઓપરેટરો એવું માનતા હોય છે કે વિદેશની પ્રોપર્ટી સીઝ થતી નથી, પરંતુ ઇડીએ તાજેતરમાં જ દેશમાં કેટલાક દરોડા દરમિયાન જે તે રોકાણકારની એટલી જ કિંમતની દેશી પ્રોપર્ટી સીઝ કરી છે. સુરતથી પણ દુબઇમાં અનેક લોકોએ રોકાણ કર્યું છે. હાલ કમલ 37નો ઇડીએ વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે. વિદેશની સંપત્તિને સીઝ કરવા લાંબી પ્રોસેસ હોવાથી આ સમયગાળામાં રોકાણકારો આવી પ્રોપર્ટી વેચી પણ દેતા હોય છે. ભાસ્કર એક્સપર્ટરોકાણ જાહેર કરવા છ માસની તક આપવામાં આવે છેહાલ એવા રોકાણ જે જાહેર કરવામાં આવ્યાં નથી તે જો કોઈ જાહેર કરવા માંગતું હોય તો છ મહિનાનો એક પિરિયડ ખુલ્લો છે. રોકાણકારો તેનો લાભ લઇ શકે છે. બ્લેકમની જાહેર કરવા પર 30 ટકા ટેક્સ ભરવાનો છે હાલ પેનલ્ટી લાગવાની નથી. - હિરેન અંભાગી, સી.એ.
સગરામપુરાના બિલ્ડરને ગેરકાયદે બાંધકામ કર્યું છે, તોડાવી નાંખીશ કહી રૂ.2.50 લાખ પડાવી લેનાર પાલિકાની આસિસ્ટન્ટ ઇજનેર અને તેના કથિત પત્રકાર પતિ સામે ખંડણીનો ગુનો દાખલ થયો છે. ગોપીપુરા કાઝીના મેદાન સ્થિત હકિમ મંઝીલ ખાતે રહેતા અનિસુલહસન હકીમ બિલ્ડર છે. 2021માં તેમણે સગરામપુરામાં જર્જરિત મિલકત ખરીદી હતી, જે તોડીને બાંધકામ કરવાની તૈયારી કરતા હતા ત્યારે મોહંમદ શાકિબ જરીવાલા આવ્યો હતો અને પોતે પત્રકાર હોવાની ઓળખ આપી આ બાંધકામ ગેરકાદે છે. મારી પત્ની રૂબિના પાલિકામાં મેઇન સાહેબ સાથે કામ કરે છે કહીને તોડાવી નાખવાની ધમકી આપી હતી. બાદમાં રુબિના સાથે મુલાકાત પણ કરાવી હતી. રુબિનાએ પ્લાન પાસ માટે 2.50 લાખ માંગ્યા હતા, જે અનિસુલહસને આપી દીધા હતા. ત્યારબાદ શાકિબ ટુકડે ટુકડે 2.50 લાખ લઇ ગયો હતો. બાદમાં પણ રુપિયા માંગતા આખરે અનિસુલહસને અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દંપતી સામે અગાઉ પણ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છેમો. શાકિબ અને તેની આસિસ્ટન્ટ ઇજનેર પત્ની રુબિના દ્વારા બાંધકામ ગેરકાયદે છે કહી તોડાવી નાખવાની ધમકી આપીને તોડ કરવામાં આવતો હતો. આ દંપતી સામે અગાઉ પણ બે પોલીસ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. અઢી લાખ લીધા બાદ પણ કહ્યું ‘દીકરાની સગાઈ છે 1 લાખ આપો’રૂપિયા પડાવી લીધા બાદ પણ શાકિબ અનિસુલહસન પાસે આવ્યો હતો અને મારા દીકરાની સગાઇ છે એના ખર્ચ માટે રૂ.1 લાખની માગણી કરી હતી. બાદમાં વોટ્સઅપ પર સગાઇનું આમંત્રણ મોકલી આપ્યું હતું. જો કે, બિલ્ડરે પૈસા નહીં આપતા બીજા દિવસે સાઇટ પર જઈ ધમકી આપી હતી.
નર્મદ યુનિવર્સિટીના એક્વેટિક બાયોલોજી વિભાગે સંશોધન, જન-આરોગ્યની સુરક્ષા ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે. વિભાગની અત્યાધુનિક લેબને NABL (National Accreditation Board for Testing and Calibration Laboratories)એ વર્ષ 2025થી 2029 સુધી ફરી માન્યતા આપી છે. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર રમેશદાન ગઢવીએ કહ્યું હતું કે, પીવાના પાણીમાં રેડિયેશન ચેક કરતી દેશની આ પ્રથમ યુનિવર્સિટી બની છે. પાણી વેચતી કંપનીઓ માટે આલ્ફા-બીટા વિકિરણોનું પરીક્ષણ કરાવી પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે, જે હવે VNSGUમાંથી મળી રહેશે. ભાસ્કર નોલેજ: ભૂગર્ભના ફેરફારથી પણ પાણીમાં રેડિયોએક્ટિવ તત્વો ભળે છે ડો. કપિલા મેનનના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં થતા આ પરીક્ષણ દ્વારા જોખમો વિશે જાણી શકાશે: કામની વાત: આટલા પ્રકારના ટેસ્ટ થઈ શકશે
રાજકોટની યુવતીએ તેના પરિચિત પોતાની જ જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા બાદ ગોંડલ સાસરે ગઇ હતી, પતિ લંડન ગયા બાદ થોડા સમય પછી તેની સાથે જતી રહી હતી પરંતુ સાત મહિના જ પતિએ ત્યાં રાખ્યા બાદ પરત લઇ આવ્યો હતો અને પિયર મુકી જઇ બારોબાર વિઝા કેન્સલ કરાવી નાખ્યા હતા, સાસુ, સસરા અને જેઠે પણ ત્રાસ આપ્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસેના લક્ષ્મણપાર્કમાં ત્રણ મહિનાથી પિયરમાં રહેતી સોનાલી રૈયાણી (ઉ.વ.28)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ હિમાંશુ બાલચંદ્ર રૈયાણી, સસરા બાલચંદ્ર ભીખા રૈયાણી, સાસુ રેખા રૈયાણી અને જેઠ યોગીન રૈયાણીના નામ આપ્યા હતા. સોનાલીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ-2023માં હિમાંશુ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ બંનેના પરિવારની ઇચ્છાથી સમાજના રિતરિવાજ મુજબ વર્ષ 2024માં લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ સોનાલી ગોંડલ સાસરે ગઇ હતી, લગ્નના એક મહિના બાદ પતિ હિમાંશુ લંડન નોકરી અર્થે જતો રહ્યો હતો, પોતે સાસરે ગોંડલ હતી ત્યારે સાસુ-સસરા અને જેઠ કોઇની સાથે વાતચીત કરવા દેતા નહોતા, સાસરિયાઓએ કહ્યું હતું કે, દેણું થઇ ગયું છે તો પિયરથી રૂ.10 લાખ લઇ આવ, વર્ષ 2025માં સોનાલી પણ પતિ હિમાંશુ પાસે વિદેશ જતી રહી હતી. સાત મહિના ત્યાં રોકાયા બાદ પતિ-પત્ની બંને પરત ભારત આવ્યા હતા. રાજકોટ ખરીદી કરવાના બહાને પતિ સહિતના સાસરિયાઓ સોનાલીને લઇને તેના પિયર આવ્યા હતા અને સોનાલીને ત્યાં જ મુકી જતા રહ્યા હતા. બીજા દિવસે સસરાએ સોનાલીના કાકા જયંતીભાઇ દુધાગરાને ફોન કરીને કહ્યું હતું કે, અમારે સંબંધ રાખવો નથી, સોનાલી અને તેના પરિવારજનોએ સમાધાન માટેના અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ સાસરિયાઓ સમાધાન માટે તૈયાર થયા નહોતા. સોનાલીએ પતિ પાસે વિદેશ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે, પતિ સહિતના સાસરિયાઓ રાજકોટ મુકી ગયા ત્યારે સોનાના તમામ દાગીના સાથે પાસપોર્ટ પણ પોતાની સાથે લઇ ગયા હતા અને પતિ હિમાંશુએ બારોબાર પત્ની સોનાલીના વિઝા રદ કરાવી નાખ્યા હતા. પોલીસે સોનાલીની ફરિયાદ પરથી તેના સાસરિયા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાસ્કર ખાસ:હોળાષ્ટક પહેલા લગ્નના 8 શુભ મુહૂર્ત, રાજકોટમાં 1000થી વધુ લગ્ન યોજાશે
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે પંચાંગ પ્રમાણે ફાગણ સુદ આઠમ તા.24 ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારે 6:03 મિનિટથી હોળાષ્ટકનો પ્રારંભ થશે. જે ફાગણ સુદ પૂનમને તા.3 માર્ચના રોજ મંગળવારે સાંજે 5:08 મિનિટે પૂર્ણ થશે. આ વર્ષે પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું હોવાથી પાળવાનું પણ રહેશે. આથી હોલિકા દહન ફાગણ સુદ ચૌદશને સોમવારે કરવામાં આવશે. લગ્નના મુહૂર્ત જોઇએ તો અત્યારે હોળાષ્ટક પહેલા મહા મહિનામાં તા.7,8,10,12,13,20,21 અને 22 ફેબ્રુઆરી સુધી લગ્નના 8 જેટલા શુભ મુહૂર્ત છે. જ્યારે હોળાષ્ટક બાદ જોઇએ તો, તા.5,6,7,8,9,10,11,12 અને 14 માર્ચ સુધી લગ્નના 9 જેટલા શુભ મુહૂર્ત છે. આ તકે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, લોકો ખાસ કરીને હોળાષ્ટક પહેલા લગ્ન કરવાનો આગ્રહ વધારે રાખતા હોય છે. આ ઉપરાંત આ વર્ષે 26મીથી 5 માર્ચ બોર્ડની પરીક્ષા પણ છે. તેમાં પણ તા.7,8 ફેબ્રુઆરીએ શનિવાર અને રવિવાર આવતો હોવાથી ઘણાં લગ્નો યોજાશે. રાજકોટમાં આ બે દિવસોમાં 300થી પણ વધુ લગ્ન યોજાશે. આગામી 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર પણ આવતો હોવાથી ધાર્મિક માહોલ વચ્ચે લગ્નોત્સવનો ઉમંગ વધુ જોવા મળશે. કમુરતાની વાત કરીએ તો, ફાગણ વદ દસમને તા.14 માર્ચના રોજ શનિવારે રાત્રીના 1:04 મિનિટે મીનારક કમુરતા બેસશે અને લગ્નના મુહૂર્તને 1 મહિનાની બ્રેક લાગશે. ફેબ્રુઆરીની જેમ માર્ચ મહિનામાં પણ તા.7,8 માર્ચ દરમિયાન શનિવાર તથા રવિવાર આવતો હોવાથી વધારે લગ્નો યોજાશે. રાજકોટમાં હોળાષ્ટક પહેલા 1000થી વધુ લગ્નો યોજાશે. જેમાં ફૂલબજાર, કાપડ માર્કેટ, મીઠાઇ, કેટરર્સ, ડી.જે., બેન્ડ બાજા સહિતની તમામ વસ્તુઓમાં તેજી રહેશે. લગ્નોત્સવના આ માહોલથી સમગ્ર શહેર આનંદ અને ઉત્સાહના રંગોમાં રંગાઈ ગયું છે. લગ્નોત્સવના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં પણ તેજી જોવા મળી રહી છે. શહેરમાં લક્ઝરી કાર, બસ અને ઘોડા-બગ્ગી જેવી સેવાઓ માટે માંગ વધી છે. સાથે જ બ્યૂટી પાર્લર અને મેકઅપ આર્ટિસ્ટ માટે પણ લગ્નની તારીખો નજીક આવતાં ભારે વ્યસ્તતા જોવા મળી રહી છે. સાથે સાથે બેન્ડબાજા, ડી.જે. અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી સેવાઓ માટે પણ આગોતરી બુકિંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રી-વેડિંગ ફોટોશૂટ અને ક્રિએટિવ વિડિયો શૂટનો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે. ફૂલબજારમાં પણ ભારે રોનક જોવા મળી રહી છે. લગ્નમંડપની સજાવટ, વાહન સજાવટ અને સ્ટેજ ડેકોરેશન માટે વિવિધ પ્રકારના તાજા ફૂલ અને આર્ટિફિશિયલ ડેકોરેશનની માંગ વધી છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:રાજકોટમાં જાની લોચો એન્ડ ખમણ આગળનું દબાણ માલિકે દૂર કર્યું, જોકે રેલિંગ યથાવત્ રાખી
રાજકોટના રામકૃષ્ણનગર મેઇન રોડ પર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના બંગલા સામે આવેલ સફલ-2 કોમ્પ્લેક્સના પાર્કિંગમાં થયેલા ગેરકાયદે દબાણ મામલે ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત અહેવાલનો અસરકારક પડઘો પડ્યો છે. અહેવાલ બાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા હરકતમાં આવી દબાણ દૂર કરવા ચાર દિવસની નોટિસ ફટકારી હતી. નોટિસ પછી સેન્ટ્રલ ઝોનના ટીપીઓ હેતલબેન સોરઠિયા ખુદ સ્થળ પર પહોંચી ‘જાની લોચો એન્ડ ખમણ’ના માલિક સાથે ચર્ચા કરી બે દિવસમાં દબાણ દૂર કરવા અપીલ કરી હતી. તંત્રની તાકીદ અને ભાસ્કર એક્સપોઝના દબાણ વચ્ચે દબાણકાર દ્વારા પાર્કિંગના આગળના ભાગમાં કરવામાં આવેલ ગેરકાયદે દબાણ સ્વયંભૂ દૂર કરવામાં આવ્યું છે. જોકે, દુકાનની બાજુ અને પ્રવેશ નજીક ઉભી કરાયેલી ગેરકાયદે રેલિંગ હજુ પણ યથાવત રાખવામાં આવી છે. પરિણામે પાર્કિંગનો સંપૂર્ણ વિસ્તાર મુક્ત થયો નથી અને વાહન પાર્કિંગમાં હજુ અવરોધ સર્જાય છે. કમિશનરના બંગલા સામેના અતિ સંવેદનશીલ સ્થળે પણ દબાણ પૂર્ણપણે દૂર ન થતાં તંત્રની કડકાઈ સામે સવાલો ઊભા થયા છે. હાલ બાકી રહેલું દબાણ તંત્ર દ્વારા દૂર કરાવવામાં આવશે કે દબાણકાર ફરી સ્વયંભૂ દૂર કરશે તે મુદ્દે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.
મતદારયાદીમાં મહાગોટાળો?:27,300 નામ કાપવાની સાજિશ, કલેક્ટર કચેરીમાં તડાપીટ
મતદારયાદી જાહેર થવાની તારીખ નજીક આવતાં રાજકોટમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લામાંથી 27,300 મતદારોના નામ રદ્દ કરવાની પેરવી સામે શહેર કોંગ્રેસ આજે જંગી શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરીએ તૂટી પડી હતી. કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, એસઆઈઆર-2025/26 પ્રક્રિયા દરમિયાન હજારોની સંખ્યામાં ફોર્મ નં.7 બલ્કમાં ખોટા ભરાયા છે. મતદારોના નામ કાપવા માટે વપરાતાં આ ફોર્મનો દુરુપયોગ કરી મતાધિકાર પર સીધો પ્રહાર કરવાનો પ્રયાસ થયો છે. તેમણે દાવો કર્યો કે, પ્રાથમિક તપાસમાં એકસરખી ખોટી સહીઓ, EPIC નંબર અને વ્યક્તિગત વિગતોમાં ચેડાં, એક જ વ્યક્તિ દ્વારા અનેક ફોર્મ, બોગસ મોબાઈલ નંબર જેવા ગંભીર મુદ્દા સામે આવ્યા છે. ખાસ કરીને SC, OBC, અલ્પસંખ્યક અને આર્થિક રીતે નબળા વર્ગના મતદારો નિશાન પર હોવાની શંકા વ્યક્ત કરી હતી. ઈલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ બલ્કમાં સબમિટ થયેલા ફોર્મ માન્ય નથી છતાં યોગ્ય ચકાસણી વિના સ્વીકારાયા હોવાની આશંકા વ્યક્ત કરી કોંગ્રેસે તાત્કાલિક સ્ટે, ફોરેન્સિક તપાસ અને જવાબદાર સામે FIRની માંગ કરી હતી. “પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત છેડાશે,” એવી ચીમકી પણ આપવામાં આવી હતી. આ રજૂઆતમાં અતુલ રાજાણી, ડો. હેમાંગ વસાવડા, વશરામ સાગઠિયા, જશવંતસિંહ ભટ્ટ, ગાયત્રીબા વાઘેલા, નરેન્દ્ર સોલંકી, નીતીન ભંડેરી, મુકુંદ ટાંક, કોમલબેન ભારાઈ, મુકેશ ચાવડા, ગોવિંદ સભાયા, ઈબ્રાહિમ સોરા, યુનુસ જુણેજા, શૈલેષ સાકરિયા, કેતન તાળા સહિતના આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધારાસભ્ય કાનગડના સગાનું નામ વોર્ડ નં.18માંથી કાઢીને 15માં ચડાવી દીધાનો પણ આક્ષેપ કરાયોમનપાના વિરોધ પક્ષના કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયાએ કલેક્ટર સમક્ષ રજૂઆતમાં એવો આક્ષેપ કર્યો હતો કે, પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડના વોર્ડ નં.18માં રહેતા સગા કેશુભાઇ કાનગડનું નામ વોર્ડ નં.15માં ગત વિધાનસભામાં ચડાવી દેવાયું છે. તેમજ એક મહિલા મતદારના નામની યાદીમાં પુરુષ મતદારનો ફોટો છે. આમ મતદારયાદીમાં અનેક બાબતો શંકાસ્પદ છે. જે બાબતે તપાસ કરવા માગણી કરી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી સમસ્ત બ્રહ્મસમાજ – રાજકોટ દ્વારા સર્વજ્ઞાતીય પાઠાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.15 ફેબ્રુઆરીના રોજ રવિવારના દિવસે સવારે 8:30થી 11:30 વાગ્યા સુધી “નંદવાણા બ્રાહ્મણ બોર્ડિંગ’, 2/3 જાગનાથ પ્લોટ’ ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કોઈપણ જ્ઞાતિ કે સમાજના ભાવિકો ભાગ લઈ શકશે જે આ આયોજનની વિશેષતા માનવામાં આવી રહી છે. ભક્તો માટે કાર્યક્રમ દરમિયાન તમામ પૂજાની સામગ્રી તેમજ ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ સંપૂર્ણ ભક્તિભાવથી પૂજામાં જોડાઈ શકે. આ આયોજનમાં વધુમાં વધુ શ્રદ્ધાળુઓ જોડાઈ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે તે માટે આયોજકો દ્વારા તમામ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં જોડાવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન 9824214021, 9825293658 પર તા.12 ફેબ્રુઆરી સુધી કરાવી શકાશે. આ દિવસે સંસ્થા દ્વારા પુજાપો વિનામૂલ્યે અપાશે આ તકે તમામ ભક્તોને શાસ્ત્રી સચિનભાઇ ઠાકર પૂજા કરાવશે. સમગ્ર કાર્યક્રમને અગ્રણી કશ્યપ શુક્લ, પ્રમુખ દર્શિતભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ જનાર્દનભાઇ આચાર્ય, દીપકભાઇ જાની સહિતના લોકો કાર્યરત છે. 250 ભક્તો સમૂહ પાઠાત્મક લઘુરૂદ્ધ કરશેઆ ધાર્મિક આયોજનમાં દર વર્ષે સર્વજ્ઞાતિના લોકો તથા યુવા વર્ગ પણ મહાદેવની ભક્તિમાં જોડાય છે. આ વર્ષે પણ 250 જેટલા ભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ સમૂહલગ્ન કે સમૂહ જનોઇ જેવા કાર્યક્રમ યોજાય તેમ આ પવિત્ર દિવસે વિશાળ સંખ્યામાં ભક્તો ભેગા થઇ સમૂહ પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં વિશેષ પ્રકારે બનાવેલું શિવલિંગ મુકવામાં આવે છે જેમાં એક વર્ષે વિશાળ બરફનું શિવલિંગ બનાવાયું હતું. આ ઉપરાંત દર વખતની જેમ આ વર્ષે પણ 6 ફૂટની ઊંચાઇનું રુદ્રાક્ષની માળાથી મઢેલું વિશાળ શિવલિંગ મુકવામાં આવશે. અહીં શિવલિંગ પર અભિષેક કરવા ભસ્મની પોટલી બનાવી રખાશે જેમાં ઉજ્જેૈનના મહાકાલની જેમ શિવલિંગ પર ભક્તો ભસ્મ છાંટી શકશે. આ ભવ્ય આયોજનનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા તથા પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એ.ડી. શેઠ પત્રકારત્વ ભવન એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે. આગામી 17, 18 અને 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન યુનિવર્સિટી કેમ્પસ ખાતે ત્રણ દિવસીય ‘ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર અને ઇસરોના પૂર્વ પ્રોગ્રામ પ્રોડ્યુસર કમલેશ ઉદાસી વિદ્યાર્થીઓને ફિલ્મ મેકિંગ, ડોક્યુમેન્ટરી, ડિજિટલ માર્કેટિંગ, એડવર્ટાઈઝિંગ શીખવશે. 13મી સુધી રજિસ્ટ્રેશન થશે. આટલું શીખશે વિદ્યાર્થીઓ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કોલેજોમાં વર્ષોથી ચાલતા ‘કોલેજ ટુ કોલેજ ટ્રાન્સફર’ના ગોટાળા પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લાલ આંખ કરી છે. અગાઉ પ્રથમ કે બીજુ સેમેસ્ટર પૂર્ણ થયા બાદ ઘણી કોલેજો અન્ય કોલેજના વિદ્યાર્થીઓને પોતાની સંસ્થામાં ખેંચી લેતી હતી, જેના કારણે કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા મંજૂર કરવામાં આવેલી ‘ઇન્ટેક’ ક્ષમતા કરતા પણ વધી જતી હતી. હવે યુનિવર્સિટીએ વર્ષ 2025-26થી આવા ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ધ્યાને આવ્યું હતું કે, કોલેજો સેમેસ્ટર-01માં નિયમ મુજબ પ્રવેશ આપે છે, પરંતુ ત્યારબાદ વિદ્યાર્થીઓને એકથી બીજી કોલેજમાં ફેરવી દેવાની પ્રક્રિયા દ્વારા સંખ્યામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવતો હતો. યુનિવર્સિટીના નવા આદેશ મુજબ, સેમેસ્ટર-01માં કોલેજની જેટલી ઇન્ટેક મંજૂર થઈ હોય તેટલી જ સંખ્યા સેમેસ્ટર-02 થી 06 સુધી જળવાઈ રહેવી જોઈએ. આ નિર્ણયથી કોલેજો પોતાની મરજી મુજબ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી શકશે નહીં.યુનિવર્સિટીના આ નિર્ણયથી હવે વિદ્યાર્થીઓએ જે કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લીધો હશે ત્યાં જ પોતાનો સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડશે. ખાસ કરીને NEP અંતર્ગત વિષયોની જટિલતાને કારણે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા વિભાગના પરિપત્રમાં જણાવાયુંછે કે, શૈક્ષણિક વર્ષ 2025-26માં વિદ્યાર્થીઓને એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી સેમેસ્ટર બદલાતા જે વિદ્યાર્થીઓ પોતાની કોલેજ બદલવાનું વિચારતા હતા તેઓને મોટો ફટકો પડ્યો છે. ગેરરીતિ અટકાવવા, વૈકલ્પિક વિષયોને લીધે નિર્ણય કર્યોઆ પ્રતિબંધ પાછળનું એક ટેક્નિકલ કારણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) પણ છે. હાલમાં MDC, AEC, SEC અને VAC (IKS) જેવા અનેક વૈકલ્પિક વિષયો ભણાવવામાં આવે છે. જો વિદ્યાર્થી ટ્રાન્સફર લે અને નવી કોલેજમાં તે વિષય ચલાવવામાં ન આવતો હોય તો વિદ્યાર્થીની કારકિર્દી જોખમાતી હતી. આથી, યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક ગુણવત્તા જાળવવા અને વહીવટી પારદર્શિતા લાવવા માટે હવે કોલેજ ટ્રાન્સફર આપી શકાશે નહીં. આચાર્યોને આદેશનું પાલન કરવા સૂચનાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યો અને સંસ્થાઓના વડાઓને પરિપત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે કે તેઓએ આ નિયમનો અમલ કરવાનો રહેશે અને સંબંધિત વિદ્યાર્થીઓને પણ આ અંગે વાકેફ કરવાના રહેશે. પરીક્ષા નિયામકની આ કડક કાર્યવાહીથી કોલેજોમાં ચાલતી અનિયમિતતાઓ પર લગામ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ડિજિટલ હાજરી વ્યવસ્થામાં ઢીલાશ:હાજરી અન્યત્ર… ફરજ ગાયબ! SWM શાખાના 45 અધિકારીને શો-કોઝ નોટિસ
રાજકોટ મહાનગરપાલિકામાં મુકાયેલ ફેસ ડિટેકશન હાજરી પ્રણાલી હવે સવાલોના ઘેરામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગમાં ફરજ બજાવતા અંદાજે 45 અધિકારીઓ અને કર્મચારીઓએ જાન્યુઆરીમાં પોતાના કાર્યસ્થળ સિવાય અન્યત્ર હાજરી નોંધાવ્યાનું બહાર આવતા પર્યાવરણ ઇજનેરે સખત કાર્યવાહી હાથ ધરી છે. સંબંધિત એસઆઇ, એસએસઆઇ અને સેનિટેશન ઓફિસર્સને કારણદર્શક નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. લંચ અવર્સમાં પણ ઢીલાશ? મનપાની ત્રણેય ઝોનલ કચેરીઓમાં નિયમ મુજબ બપોરે 2:30 થી 3:00 લંચ ટાઈમ હોવા છતાં અનેક કર્મચારીઓ 1:30 થી 4:30 સુધી ગેરહાજર રહેતા હોવાની નાગરિકોની ફરિયાદ છે. નાગરિકોને કલાકો રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ સર્જાતા હવે કમિશનર દ્વારા લંચ અવર્સ સહિત ઓફિસ અવરજવરનું મોનિટરિંગ કરાવવાની માંગ ઉઠી છે. ગોટાળો કેવી રીતે પકડાયો? નિયમ શું કહે છે?
અમદાવાદમાં રહેતા પરિવારના પુત્રના ઓસ્ટ્રેલિયામાં પીઆર કરી દેવાની અને પરિવારની સમસ્યા તાંત્રિકવિધિથી દૂર કરી દેવાની ખાતરી આપી રૂ.24.23 લાખ પડાવવાના ગુનામાં ધરપકડ બાદ જેલ હવાલે થયેલા તાંત્રિકે વાગુદડના યુવકના લગ્નજીવનમાં ભંગાણ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તાંત્રિકની ચઢામણીથી યુવકની પત્ની દોઢ વર્ષથી પિયરથી પરત આવી નથી અને પતિ સામે ભરણપોષણનો દાવો કર્યો છે. વાગુદડ રહેતા રૂત્વિક રાકેશભાઇ દેસાઇ (ઉ.વ.25)એ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેના લગ્ન મવડી વિસ્તારમાં રહેતી જાનકી ભાવેશભાઇ સોરઠિયા સાથે વર્ષ-2023માં થયા હતા, હાલમાં તેને સવા વર્ષનો પુત્ર હિયાન છે. દોઢેક વર્ષ પહેલા પત્ની જાનકી સગર્ભા થઇ ત્યારે રિવાજ મુજબ પ્રસૂતિ માટે તેને પિયર મોકલવામાં આવી હતી અને પુત્ર હિયાનનો જન્મ થયો હતો, ત્યાં સુધી તેમનું લગ્નજીવન સુખથી ચાલતું હતું, પરંતુ પત્ની જાનકી પિયર ગઇ ત્યારે ત્યાં તેના માતા પ્રભાબેન ઉર્ફે શોભનાબેન સોરઠિયાનો સંબંધી કથિત તાંત્રિક ગુંદાવાડીમાં રહેતો સતીશ રામજી ધામી પરિચયમાં આવ્યો હતો. પત્ની અને પુત્રને મળવા રૂત્વિક ત્યાં જતો હતો ત્યારે ત્યાં હાજર તાંત્રિક સતીશ કહેતો હતો કે, ‘તમારા પગમાં ડાઘ છે, ઊંધુ સુવાની ટેવ છે’, જંગલમાં વિધિ કરવાથી તમારી તમામ સમસ્યા દૂર થશે. રૂત્વિકે આવી વાતનો વિરોધ કર્યો હતો અને તેની પત્ની જાનકીને પણ આ વાતથી દૂર રહેવાનું કહ્યું હતું, પરંતુ પત્ની જાનકી અને સાસુ પ્રભાબેન તાંત્રિકની વાતમાં ઉંડા ઉતરવા લાગ્યા હતા. પત્ની અને સાસુની જીદથી રૂત્વિક એક વખત ગુંદાવાડીમાં સતીષના ઘરે ગયો હતો અને ત્યાં વિધિના બહાને રૂ.30 હજાર પણ સતીષે પડાવ્યા હતા. ત્યારબાદ પુત્ર હિયાન 3 મહિનાનો થતાં રૂત્વિકના પરિવારજનોએ તેડું કરવા ક્યારે આવીએ તેમ પૂછતાં એક મહિના પછી આવશે તેવી વાત કરી હતી, બાદમાં થોડો સમય વિતતાં તાંત્રિક સતીષ અને જાનકીની માતાએ જાનકીના સોનાના દાગીના મગાવ્યા હતા, પરંતુ રૂત્વિકને તાંત્રિક સતીષ પર વિશ્વાસ નહીં બેસતા તેણે દાગીના આપવાની ના કહી દીધી હતી તેના બીજા જ દિવસે જાનકીએ ફોન કરી ઝઘડો કર્યો હતો અને સાસરે પરત આવવાની ના કહી દીધી હતી. દોઢ વર્ષ વીતી જવા છતાં પત્ની પરત આવી નથી, તેણે ભરણપોષણનો દાવો કર્યો છે અને દસેક મહિનાથી પુત્રનો ચહેરો જોયો નથી તેવો વસવસો પણ રૂત્વિક દેસાઇએ વ્યક્ત કર્યો હતો તાંત્રિક યુવતીને કહેતો ‘વર્ષ 2027-28માં તારો પતિ દગો આપશે, 29માં તું રાણીની જેમ રહીશ’પોતાના લગ્નજીવનમાં તાંત્રિક સતીષ ધામીએ જ ભંગાણ કર્યાનો આક્ષેપ કરીને રૂત્વિક દેસાઇએ કહ્યું હતું કે, એક વખત તેણે તેની પત્નીનો મોબાઇલ હાથવગો કરી લીધો હતો અને તેના કેટલાક વ્હોટ્સએપ ચેટ ચેક કર્યા હતા જેમાં તાંત્રિક સતીષે લખ્યું હતું કે, વર્ષ 2027-28માં તને તારો પતિ દગો દેશે અને વર્ષ 2029માં તું રાણીની જેમ રહીશ.
વેધર રિપોર્ટ:રાજકોટમાં 8 દિવસ વહેલો ઉનાળો ! 35 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું!
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કુદરતે પોતાનું ચક્ર જાણે વહેલું ફેરવ્યું હોય તેમ ફેબ્રુઆરીના પ્રારંભે જ આકરા ઉનાળાના પગરવ થઇ રહ્યા છે. સામાન્ય રીતે જે ગરમી ફેબ્રુઆરીના મધ્યમાં કે અંતમાં શરૂ થતી હોય છે, તે આ વર્ષે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ જોવા મળતા શહેરીજનો સ્તબ્ધ બન્યા છે. રાજકોટ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જે સંકેત આપે છે કે આ વર્ષે ઉનાળો માત્ર વહેલો જ નહીં પણ વધુ આકરો પણ રહેવાનો છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2025માં ફેબ્રુઆરી અડધો વીત્યો ત્યારે પારો 35 ડિગ્રીએ પહોંચ્યો’તો, આ વર્ષે પ્રથમ સપ્તાહમાં જ તાપમાન 35 ડિગ્રી થઇ ગયું. શુક્રવારે રાજકોટનું લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાનના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે, ગત વર્ષે એટલે કે વર્ષ 2025માં ફેબ્રુઆરી મહિનો અડધો વીતી ગયો હતો એટલે કે 14 ફેબ્રુઆરીએ તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે એટલે કે 2026માં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ તાપમાન 35 ડિગ્રીને વટાવી ગયું છે. આમ શિયાળો જલ્દી વિદાય લઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં હજુ પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ વખતે કેમ વહેલી શરૂ થઈ ગરમી : ઠંડા પવનોનું જોર ઘટ્યું, દિશા પણ બદલાઈહવામાન વિભાગના નિષ્ણાતોના મતે પવનની દિશામાં થયેલો અચાનક ફેરફાર આ માટે મુખ્ય કારણભૂત છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોનું જોર ઘટ્યું છે અને પશ્ચિમ-દક્ષિણ તરફથી ગરમ પવનો ફૂંકાવા લાગ્યા છે. વળી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા સૂર્યના કિરણો સીધા જ જમીન પર પડી રહ્યા છે જેના કારણે બપોરના સમયે તાપમાનમાં અચાનક ઉછાળો જોવા મળે છે. વહેલી સવારે ઠંડી, બપોરે ગરમીના કારણે જનજીવન તેમજ આરોગ્ય પર અસરબપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન આકરા તડકાને કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળે છે. લોકોએ અત્યારથી જ પંખા અને એસીનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ સાથે જ બેવડી ઋતુના કારણે (વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે કાળઝાળ ગરમી) વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
પિતાના મૃત્યુના 25મા દિવસે એકના એક પુત્રએ વૃદ્ધ માતા અને છ બહેનોને અંધારામાં રાખી ખાંભા ગામમાં આવેલી જમીનમાંથી તમામ લોકો હક હિસ્સો જતો કરે છે તેવું સોગંદનામું કરાવી લઇ પોતે જમીન પર કબજો જમાવી દીધો હતો, ખેડૂતને મળતી સહાય બંધ થતાં વૃદ્ધાએ તપાસ કરાવી ત્યારે પુત્રએ જ કૌભાંડ આચર્યાનો ભાંડાફોડ થયો હતો. શહેરના ઓમનગર પાસેના ધરમનગરમાં પુત્રીના ઘરે રહેતા ગૌરીબેન ગોવિંદભાઇ પરમારે (ઉ.વ.75) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ સગા પુત્ર મવડીમાં રહેતા દિનેશ ગોવિંદભાઇ પરમારનું નામ આપ્યું હતું. ગૌરીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી છે, પતિ ગોવિંદભાઇના નામની જમીન લોધિકાના જશવંતપુરમાં આવેલી હતી, તે જમીન ગોવિંદભાઇએ વર્ષ 2017માં રૂ.58.50 લાખમાં વેચી દીધી હતી, જેની સામે ગોવિંદભાઇએ ખાંભા ગામમાં રૂ.19.70 લાખમાં ખેતીની જમીન ખરીદ કરી હતી અને તે જમીનમાં ગૌરીબેન, તેમની છ પુત્રી અને પુત્રનો હક્ક હિસ્સો છે તેવી નોંધ પણ કરાવવામાં આવી હતી. વર્ષ 2017માં ગોવિંદભાઇના મૃત્યુના 25મા દિવસે માતા અને છ બહેનો ગોવિંદના ઘરે હતા ત્યારે પુત્ર દિનેશે બેંકના કામના નામે માતા અને છ બહેનોની રૂ.100ના સ્ટેમ્પ પેપર પર સહી કરાવી લીધી હતી. જોકે તે સોગંદનામામાં લખ્યું હતું કે, ખાંભાની જમીનમાંથી ગૌરીબેન અને તેની છ પુત્રી હક્કહિસ્સો જતો કરે છે. ત્યારબાદ ગૌરીબેનને ખેડૂત ખાતેદાર તરીકે સરકાર તરફથી ત્રણ મહિને રૂ.2 હજાર બેંકમાં જમા થતા હતા તે રકમ જમા થવાનું બંધ થતાં ગૌરીબેન અને તેની પુત્રીએ બેંકે જઇ તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે, ગૌરીબેન અને તેમની પુત્રીઓએ ખાંભાની ખેતીની જમીનમાંથી સંપૂર્ણ હક જતો કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માતાની અન્ય એક જમીન પણ પોતાના નામે કરી નાખીગૌરીબેને એવું પણ જણાવ્યું હતું કે, તેમના પતિએ ખાંભા ગામની જમીન ખરીદ કરી ત્યારે લોધિકા સર્વેની પણ ખેતીની જમીન રૂ.11.75 લાખમાં ખરીદવાનું નક્કી કર્યું હતું, તે સમયે જમીન માલિક પૂરતા કાગળો નહીં આપી શકતાં દસ્તાવેજ થયા નહોતા, ત્યારબાદ પુત્રએ રૂ.12 લાખના ચેકમાં ગૌરીબેનની સહી કરાવી તે ચેક પોતાના ખાતામાં જમા કરાવી તે રકમથી નક્કી થયેલી જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો.
અકસ્માત સર્જાયો:કારે મોપેડને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજા
માણાવદર રહેતા 34 વર્ષીય ચંદુભાઈ પરમાર ગઈ તારીખ 18 જાન્યુઆરીના રોજ સાંજે જીજે 11 સીઆર 4031 નંબરનું મોપેડ લઈને નરેડી જતા હતા. તે દરમિયાન દગડ ગામ પાસે બંને પેટ્રોલ પંપની વચ્ચે સિલ્વર કલરની અજાણી કારના ચાલકે પાછળથીને ટક્કર લગાવતા કૌશિકભાઇ ફેકાઈ ગયા હતા. અકસ્માતથી જમણા પગમાં ગંભીર ઇજા થતાં જૂનાગઢ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
કેશોદના બામણાસા ઘેડ ગામે 1200 વિઘા પૈકી 200 વિઘા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરી 4 મોટા તળાવો બનાવી દઈ પંચાયતની મીઠી નજર હેઠળ માટી ચોરીનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેને લઈ આ ગૌચરની જમીન પર વરસાદી ઘોડાપુર પસાર થતાં ગૌચરની જમીન સહિત રોડ રસ્તાઓના ધોવાણથી પાણીના વહેલાથી આસપાસના ગામડાઓમાં ખેતીની જમીન સહિત મોટી બરબાદી નોતરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર માટી ચોરીની પ્રવૃતિમાં સિંચાઈ વિભાગ મંજૂરી લઈ હેતુ ફેર કરી છેલ્લાં 10 વર્ષથી ગૌચરમાં માટી ચોરી કરવામાં આવી રહી છે. આ માટે છેલ્લાં 10 વર્ષમાં સિંચાઈ વિભાગના ચોપડે ચડેલ જેસીબી અને ટ્રેકટરને કબ્જે લઈ કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. આ માટે તાલુકા અને જિલ્લા પ્રશાસનના રેવન્યુ અને ખાણ ખનીજ વિભાગને વારંવાર ફરિયાદ કરવા છતાં ભૂમાફિઓ વિરૂધ્ધ કાર્યવાહી તો ત્યાં રહી પરંતુ પત્રોનો સમયસર ઉત્તર પણ આપવામાં આવતો નથી કે સ્થળ રોજકામ જેવી કાર્યવાહી કરવામાં આવતી નથી આ માટી માટે ગૌચરના ખાડાનું રોજકામ થાય અને દંડનિય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે. 3 થી લઈ 6 ફૂટ ઉંડે સુધી માટીનુંખોદકામ થયાનો ખુલાસોબામણાસા ઘેડ ગામે કેશોદ મામલતદાર કચેરીના મહેસુલ તલાટી, સર્કલ ઓફિસરે ફરિયાદ આધારે સ્થળ ખરાઇ કરી 3 ફૂટથી લઈ 6 ફૂટ ઉંડું માટી ખોદકામ થયું હોય પંચરોજકામ કરી ભુસ્તરશાસ્ત્રીને અસલ કાગળો સાથે નં.જમીન/ઇ.નં./4207/2 021 પત્ર થી વર્ષ 2021 માં અહેવાલ મોકલાયો હતો તે અંગે ભુસ્તરશાસ્ત્રી દ્વારા હજુ સુધી ભૂમાફિયાઓ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરાઇ હોવાની અરજદારને જાણ નથી તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. મામલો ગાંધીનગર પહોંચ્યો,અહેવાલ મંગાવવામાં આવ્યોબામણાસા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ચોરી થતી હોય ગામના જ એક ખાતેદાર ખેડૂતે ગુજરાત તકેદારી આયોગને જાણ કરતાં તેમની કચેરીએ નોંધાયેલાં ઉખખ/18/2025/7391/B ના વળતાં જવાબમાં તકેદારી આયોગે ઉખખ/ 11/ 2025/ 10833/ C થી જાણ ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવને પત્ર લખી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. તંત્રએ પત્રને માત્ર કાગળ સમજી ટેબલમાં મૂકી દીધો બામણાસા ઘેડ ગામના મંગાભાઈ રૂપાભાઈ મગરાએ મામલતદાર, ક્લેક્ટર, નાયબ કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ જુનાગઢને જાન્યુ અંતમાં પત્ર લખ્યો તેમાં બામણાસા ઘેડ ગામ ખાતે આવેલ 1200 વિઘા ગૌચરની જમીનમાં જેસીબી અને અસંખ્ય ટ્રેકટરો દ્વારા ગેરકાયદેસર માટી ચોરી થતી હોય તે અટકાવવામાં આવે અને તટસ્થ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નહીંતર ગૌચર ખલાસ થઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરી છે.
વિપક્ષની માંગ:મનપા અનુભવી અને નરસિંહ તળાવની યોગ્ય કાળજી રાખે તેવી એજન્સીને ટેન્ડર આપે
આગામી તારીખ 10 ફેબ્રુઆરીન રોજ મનપાની સ્થાયી સમિતિ બેઠક યોજાનાર છે. જેમાં નરસિંહ સરોવરના મેન્ટેનન્સ માટે ટેન્ડર કરી ટીકીટના દર નક્કી થનાર છે. આ બેઠકમાં મનપા નરસિંહ સરોવરનુ ટેન્ડરીંગ કરી અનુભવી અને નરસિંહ તળાવની યોગ્ય કાળજી લે તેવી એજન્સીને ટેન્ડર આપવા વિપક્ષે માંગ કરી છે. વિપક્ષી નેતા લલીત પણસારાએ સ્ટેન્ડિંગ ચેરમેનને પત્ર મારફત જણાવ્યુ કે, નરસિંહ મહેતા સરોવરના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે જે નરસિંહ સરોવરમાં નિયમિત સફાઇ, યોગ્ય જાળવણી કરે તેવી અનુભવી એજન્સીની પસંદગી કરે. તેમજ તળાવમાં આવતા પ્રવાસીઓ પોતાના અનુભવો અને કોઇ સુચન આપી શકે તે માટે ક્યુઆર કોડ ટીકીટમાં કે સ્થળ પર મુકવો જોઇએ. જો જે એજન્સી કામ આપ્યુ હોય અને તે યોગ્ય મેન્ટેન્સ ન કરે તો તેની સામે દંડનીય કાર્યવાહી થવી જોઇએ. ખાસ કરીને લાગતાવળગતાને કામ આપવાની છેલજામાં તંત્ર નબળી એજન્સીને કામ આપી નરસિંહ સરોવરને નુકશાન પહોંચે તેવો નિર્ણય આગામી તારીખ 10 ફેબ્રુઆરીની સ્થાયી બેઠકમાં ન લે તેવી અમારી માંગ છે.
ગંભીર અકસ્માત સર્જાયો:કાર ચાલકે મોપેડને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજા
માણાવદર રહેતા 34 વર્ષીય ચંદુભાઈ પરમાર ગઈ તારીખ 18 જાન્યુઆરીના રોજ સાંજે જીજે 11 સીઆર 4031 નંબરનું મોપેડ લઈને નરેડી જતા હતા તે દરમિયાન દગડ ગામ પાસે બંને પેટ્રોલ પંપ ની વચ્ચે સિલ્વર કલરની અજાણી કારના ચાલકે પાછળથીને ટક્કર લગાવતા કૌશિકભાઇ ફેકાઈ ગયા હતા. અકસ્માતથી જમણા પગમાં ગંભીર ઇજા થતાં જૂનાગઢ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
શકુનીઓ પોલીસના સકંજામાં:વાડીએ ચાલતી ક્લબ પર રેઇડ, જુગાર રમતા વેપારી સહિત 6 શખ્સો પકડાયા
રહીજ ગામની સીમમાં વાડીએ ચાલતી ક્લબ પર ક્રાઈમ બ્રાન્ચે રેઇડ પાડી જુગાર રમતા વેપારી સહિત 6 શખ્સોને પકડી રૂપિયા 1.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જૂનાગઢ એલસીબીને શુક્રવારે વહેલી સવારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન હેઠળના રહીજ ગામે રહેતા સરમણ કારાભાઈ વાળા નામનો શખ્સ ગામની સીમમાં આવેલ પોતાની વાડીના મકાનને બહારથી માણસોને બોલાવી જુગાર રમાડી અખાડો ચલાવે છે એવી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે પરોઢિયે દરોડો વાડી માલિક જુગારધામનો સંચાલ સરમણ કારા તેમજ રહીજ ગામના મહિપતસિંહ ઘેલુભા ચુડાસમા, અરજણ વકમાતભાઈ રામ, હરદાસ મુળુભાઇ રામ, માંગરોળમાં વેપારી સોકત ઉંમરભાઈ સોરઠીયા, માંગરોળ તિરૂપતિનગરમાં રહેતા વેજાણંદ પીઠાભાઈ બડવા સહિત 6 શખ્સને રૂપિયા 52,750ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. ખેલીઓ પાસેથી રોકડ ઉપરાંત બાઈક મળી કુલ રૂપિયા 1,92,750નો મુદામાલ કબજે લઈ તમામની વિરુદ્ધ શીલ પોલીસ મથકમાં કાર્યવાહી કરી હતી.
આહિર સમાજનો 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો:સમાજ સંકલ્પબદ્ધ બને ત્યારે પરિવર્તન આપમેળે જન્મે છે ''
લગ્ન જે સામાન્ય રીતે ખર્ચ, દેખાવ અને દેખાદેખીનું પ્રતીક બની જાય છે, ત્યાં આદ્રી ગામે આહીર સમાજે લગ્નને એક નવી વ્યાખ્યા આપી છે. વેરાવળ તાલુકાના આદ્રી ગામે આયોજિત આહીર સમાજના 22માં સમૂહ લગ્ન મહોત્સવે એ વાત ફરી એકવાર સાબિત કરી કે સમાજ જ્યારે સંકલ્પબદ્ધ બને, ત્યારે પરિવર્તન આપમેળે જન્મે છે. આ મહોત્સવમાં 54 નવદંપતીઓએ એકસાથે પ્રભુતામાં પગલાં મૂક્યા. રંગબેરંગી વસ્ત્રોમાં સજાયેલી દુલ્હનોએ માત્ર ઘર નહીં, પણ સમાજના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી પણ સંભાળી. આ દ્રશ્યમાં આનંદ હતો. આ સમૂહ લગ્ન ઉત્સવના પ્રણેતા, પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવા માટે આ ક્ષણ માત્ર ઉત્સવ નહીં, પરંતુ 20વર્ષ પહેલાં વાવેલા વિચારના બીજનું ફળ હતું. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે, લગ્ન ખર્ચનું નહીં, ભવિષ્યનું આયોજન હોવું જોઈએ. આજે એ વિચાર વટવૃક્ષ બની સમાજને છાંયડો આપી રહ્યો છે. આ વર્ષે લગ્ન કરનાર દીકરીઓમાં ડોક્ટર, સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ તેમજ અનેક ગ્રેજ્યુએટ દીકરીઓ સામેલ હતી. આ આંકડા માત્ર સંખ્યા નથી,પરંતુ આહીર સમાજની શિક્ષણપ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાની સાક્ષી છે. આ 22માં સમૂહલગ્નોત્સવની સૌથી વિશેષ બાબત એ છે કે, 54 દીકરીઓ પૈકી 1 ડોક્ટર, 3 સરકારી નોકરીયાત, 1 ખાનગી નોકરી કરતી અને 32 ગ્રેજ્યુએટ દીકરીઓનો સમાવેશ થાય છે. શિક્ષણ અને આત્મનિર્ભરતા તરફ આગળ વધતી આ દીકરીઓ આદ્રી આહિર સમાજની દૂરંદેશી અને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
11 લોકોનો ખોવાયેલ મોબાઈલ સહિત 2 લાખનો મુદામાલ નેત્રમ શાખાએ સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને પરત અપાવ્યો હતો. જૂનાગઢના કમલેશભાઈ શિવરાજભાઈ પારઘીની 43,000ની રોકડ, પોરબંદર થી જૂનાગઢ આવેલા સમીર રામભાઈ બાપોદરાનું રૂપિયા 50 હજારનું લેપટોપ, માંગરોળમાં કિશોરભાઈ દેવચંદભાઈ રાણીંગાનો 50,000નો સામાન શોધી આપ્યો હતો. ભાવનગરના તુષારભાઈ અશોકભાઈ પરમાર, જૂનાગઢના ભાવેશભાઈ જીતેન્દ્રભાઈ શર્મા, અરહાન ઈરફાનભાઈનો મોબાઈલ, જવાહર મેઘજીભાઈ ભરસાણી, વિજયભાઈ અમૃતલાલ પંચાલનું બેગ, દિનેશસિંગ રમેશભાઈ પંજાબી, સોનલબેન દિલીપભાઈ કોદાવલા, જીતેશભાઈ કાનજીભાઈની થેલી મળી કુલ રૂપિયા 2,01,600નો ખોવાયેલ મુદામાલ નેત્રમ શાખાએ શહેરમાં ઈન્સ્ટોલ કરાયેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને પરત અપાવી ’પોલીસ પ્રજાનો મિત્ર છે’ સૂત્રને સાર્થક કર્યું હતું.
ભાસ્કર વિશેષ:મનપા દ્વારા 24 આંગણવાડીમાં સમારકામ થયુ, 29માં કામ ચાલુ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જુનાગઢ મનપા હેઠળ કાર્યરત કુલ-179 આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-53 આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આંગણવાડી કેન્દ્રોના ભૌતિક માળખા મજબૂત બને અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઉભું થાય તે માટે કામગીરી ચાલી રહી છે. બાળકોને પોષણ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને માતૃત્વ સહાય જેવી સેવાઓ વધુ અસરકારક રીતે મળી રહે તે માટે આ કેન્દ્રોની ભૌતિક માળખાકીય સુવિધાઓ મજબૂત કરવી અનિવાર્ય છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત મહાનગરપાલિકા જુનાગઢ ની સ્વભંડોળ ગ્રાન્ટ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જુનાગઢ માં કુલ 53 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે. આ તમામ કેન્દ્રોને નવીનીકરણ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે, જે પૈકી નાના સમારકામમાં રૂ. 8500ની ગ્રાન્ટ હેઠળ અત્યાર સુધીમાં કુલ 19 આંગણવાડીઓમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે અંદાજીત 12 કેન્દ્રોનાં કામ અત્યારે પ્રગતિ હેઠળ છે. શ્રેષ્ઠ 3 આંગણવાડીની પસંદગી કરી, 25 માપદંડો ધ્યાને લેવાશે આ ઝુંબેશ માત્ર મરામત પુરતી સીમિત નથી, આ ઝુંબેશ હેઠળ કુલ-100 ગુણના સ્કોરકાર્ડના આધારે દરેક સેજા કક્ષાએ શ્રેષ્ઠ ૩ આંગણવાડીઓની પસંદગી કરવામાં આવશે. જેમાં દીવાલોની સ્થિતિ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, ભીત ચિત્રો (વોલ પેઈ-ન્ટીંગ) અને પોષણ વાટિકા જેવા 25 જેટલા વિવિધ માપદંડોને ધ્યાને લેવામાં આવશે. આમ, બાળકોને સુસજજ અને સુરક્ષિત આંગણવાડી કેન્દ્રો ભેટ આપવાનો તંત્રનો લક્ષ્યાંક છે.
ખડક ચઢાણ:110 વિદ્યાર્થિનીઓએ પહાડ ચઢવાની તાલીમ લીધી
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે તારીખ 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની 100 તેમજ અન્ય 10 મળી કુલ 110 વિદ્યાર્થીનીઓએ પર્વતારોહણની તાલીમ લીધી હતી. આ ખડક ચઢાણ બેઝિક કોર્સની અંબર વિષ્ણુ , પ્રદીપકુમાર રાજસ્થાન, ભરતસિંહ પરમાર, રોહિત વેગડ, ખુશાલી સુરાણી ભાવનગર, ચોહાણ સંજય રાજુલા, જીનલકુવર સોલંકી બનાસકાંઠા, નિકિતા ચૌધરી ગાંધીનગર, પ્રિયા મયાત્રા માણાવદર, બિંદીયા પટેલ નવસારીએ તાલીમ આપી હતી.
પૂર્વ કર્મચારી સામે ગુનો નોંધાયો:કૃષિ યુનિ.ના કુલસચિવ, કુલપતિને બદનામ કરવા ધમકીભર્યા ઈ-મેઈલ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓને બદનામ કરવા અને ધમકી આપવા બદલ સાયબર પોલીસ સ્ટેશનમાં કિંજલ પ્રવિણભાઈ ભંડારી નામના શખ્સ સામે કુલસચિવે ફરિયાદ કરતા તપાસ હાથ ધરી હતી. કૃષિ યુનિ.ના 52 વર્ષીય કુલ સચિવ યોગેશકુમાર હરીભાઈ ઘેલાણીની ફરિયાદ અનુસાર જૂનાગઢના કિંજલભાઈ પ્રવીણભાઈ ભંડારી, જે અગાઉ યુનિવર્સિટીમાં રોજમદાર તરીકે ફરજ બજાવતો હતો, જેની અદાવત રાખીને તેણે 3 અલગ-અલગ મોબાઈલ નંબર દ્વારા ફેક ઈ-મેઈલ આઈડી બનાવી તેના દ્વારા તા. 07-12-2022 તથા તા. 02-10-2025ના કુલપતિ વી. પી. ચોવટીયા તેમજ તેના પુત્ર જય ચોવટીયાની ખોટી રીતે ભરતી થયાના આક્ષેપો કર્યા હતા. તેમજ શખ્સે ચીફ સેક્રેટરી, ચારેય કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, રજીસ્ટ્રાર વગેરેને સરકારી ઈ-મેઇલ આઇડી પર મુખ્યમંત્રીને તોછડી ભાષામાં સંબોધન કરી કુલપતિ ચોવટીયા અને તેના પુત્ર જય ચોવટીયાને છુટા કરવાની અભદ્ર ભાષામાં ધમકીભર્યા ઈ-મેઈલ પણ મોકલ્યા હતા. જેથી કુલસચિવ યોગેશકુમાર ઘેલાણીએ સાયબર પોલીસને રજૂઆત કરી હતી. જે અંગેની પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, કિંજલ ભંડારીએ પુરાવા વગરના ગંભીર આક્ષેપો કરી કુલસચિવ, કુલપતિ તેના પુત્રને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આથી શુક્રવારે રેન્જ સાયબર પોલીસે ફરિયાદ લઈ આરોપી સામે કલમ 173 અને આઈ.ટી. એક્ટની કલમ 66-સી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ખેડૂતોને મળ્યા ધાણાના ઊંચા ભાવ:જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એક ખાંડી ધાણાના ભાવ રૂ. 41,200
સોરઠ પંથકના હવે રવિ પાક તૈયાર થવા જઈ રહ્યો છે જોકે અમુક વિસ્તારમાં આગોતરો પાક હોય જૂનાગઢ યાર્ડમાં ઘાણા સહિતની જણસીની આવક નોંધાઇ છે. ત્યારે જ નવા ધાણાની આવક થતા પ્રતિમણ ભાવ 2061 બોલાયો હતો.પરંતુ ગુણવત્તા અને આવક મુજબ ખેડૂતોને ભાવ મળતા હોય છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસીની પુષ્કળ આવક થઇ રહી છે. જેમાં હાલ આગોતરૂ વાવેતર કરેલા રવિપાકની પણ ધીમે-ધીમે આવકની શરૂઆત થઇ ગઇ છે. જેમાં શુક્રવારે યાર્ડમાં 22,900 કિલો ધાણાની આવક થઇ હતી. જેમાં હરરાજીમાં ખેડૂતોને મણના ભાવ રૂપિયા 2061 બોલાયા હતા એટલે કે એક ખાંડીના ભાવ રૂ. 41,200 થયા હતા. ઉલેખનીય બાબત એ છે કે, યાર્ડમાં શરૂઆતમાં જણસીની આવકના શ્રીગણેશ સાથે ખેડુતોને ઉંચા ભાવ બાદમાં ગુણવત્તા અને આવક પ્રમાણ ભાવ મળે છે. યાર્ડમાં ધાણા ઉપરાંત તુવેરની સૌથી વધુ 4,52,500 કિલોની આવક સાથે મણના ભાવ રૂપિયા 1690 બોલાયા હતા.
જૂનાગઢ પીજીવીસીએલ દ્વારા માર્ચ એન્ડીંગને લઇ છેલ્લા બિલની જે ગ્રાહકોએ ભરપાઇ કરી નથી તેની ડોર-ટુ- ડોર રિકવરી ઝુંબેશ શરૂ કરી છે. જૂનાગઢના ચારેય સબ-ડિવિઝન મળી કુલ 7000 ગ્રાહકો પાસેથી રૂપિયા 2.30 કરોડની વસૂલાત કરવામાં આવનાર છે. પીજીવીસીએલના અધિકારી એચ.એચ. સોનીએ જણાવ્યુ કે, ઘણા લોકો બિલ ચુકવણીનો સમય પૂર્ણ થઇ ગયા છતા બિલ ભરતા હોતા નથી. આગામી માર્ચ એન્ડીંગને કારણે આખા વર્ષનો હિસાબ પૂર્ણ કરવાનો હોવાથી જે લોકોએ છેલ્લા મહિનાઓના બિલ ભર્યા ન હોય તેવા લોકોની સબ-ડીવીઝન મુજબ યાદી કરી પીજીવીસીએલની ટીમો બનાવી ડોર-ટુ-ડોર રિકવરી ઝુંબેશ શરૂ કરી છે. જેમાં જૂનાગઢના સેન્ટ્રલ, ગાંધીગ્રામ, જીઆઇડીસી અને સેટેલાઇટ આ ચારેય સબ-ડિવિઝનના મળી કુલ 7000 ગ્રાહકોના રૂપિયા 2.30 કરોડના બિલની વસૂલાત કરવાની છે. જેને કારણે હાલ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર જઇને વસૂલાત શરૂ કરી છે. બિલ નહીં ભરે તો કનેકશન કટપીજીવીસીએલની ટીમ સમય મર્યાદામાં બિલ ન ભરનાર પાસેથી રિકવરી માટે ડોર-ટુ-ડોર જઇ રહી છે. જો પીજીવીસીએલની ટીમને ડોર-ટુ-ડોરમાં પણ જે-તે ગ્રાહક બિલની ભરપાઇ નહીં કરે તો તેનુ લાઇટ કનેકશન કાપી નાખવામાં આવશે એમ જણાવ્યુ છે.
જૂનાગઢ શહેર અને જિલ્લા સહિત સમગ્ર વિધાનસભા વિસ્તાર માટે સતત ચિંતિત અને કાર્યરત એવા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પાર્ટી અને લોકોએ પોતાના પર મુકેલા ભરોસાને જીવનનો મહત્વનો ટર્નિંગ પોઇન્ટ ગણાવી રહ્યા છે. તેઓ ગિરનારના ડેવલપમેન્ટ માટે પણ સતત મથી રહ્યા છે. જૂનાગઢ શહેર-જિલ્લા સહિત વિધાનસભા વિસ્તારના વિકાસની બ્લુ-પ્રિન્ટ, જીવન, કારકિર્દી, શોખ અને નેતૃત્વ અંગે તેમણે ભાસ્કર સાથે મુક્ત મને વાત કરી હતી. અહીં વાંચો દિવ્ય ભાસ્કર ના સવાલો અને તેમણે આપેલા જવાબો... સવાલ : આપની જીવનયાત્રા અને કારકિર્દીમાં મહત્વનો વળાંક શું છે ? જવાબ : આમ તો જીવનમાં એવો કોઈ વળાંક નથી પણ જૂનાગઢમાં ટિકિટ મળવાની શક્યતા નહોતી, બીજે અપેક્ષા હતી ત્યારે પાર્ટીએ ટિકિટ આપી અને લોકોએ પણ મારા પર ભરોસો મૂક્યો એ ટર્નિંગ પોઇન્ટ કહી શકાય. સવાલ : ધારાસભ્ય તરીકે ત્રણ વર્ષની નોંધપાત્ર કામગીરી અને મહત્વના નિર્ણયો લીધા હોય તો એ જણાવો ? જવાબ : 10 - 12 વર્ષથી અટકેલા પ્રશ્નો ઉકેલ્યા છે. સ્પોર્ટ્સ સંકુલ, ઈવનગર બાયપાસ, 66 કેવી, મોતીબાગ, ગિરનાર લાઈટ અને પાણીનો પ્રશ્ન, ગિરનાર ડેવલપમેન્ટ, ગુંડાગીરી મુક્ત જૂનાગઢ, નાના માણસોને પણ હોસ્પિટલની આધુનિક સુવિધા મળે તેના પર કામ કર્યું, બધા ગામ સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું, 14 ગામોમાં કચરાનો ડોર ટુ ડોર કલેક્શન, માખીયાળા ગામમાં ગેસના કનેક્શન અપાઈ ગયા સહિતના ઘણા મહત્વના કામો કર્યા. સવાલ : આપનો શોખ શું છે અને વ્યસ્ત સમયમાં એ કેવી રીતે પૂરો કરો છો ? જવાબ : પરિવાર સાથે ફરવા જવાનો શોખ છે અને અત્યારે પણ વર્ષમાં બે વાર ફરવા જાઉં જ છું. સવાલ : આગામી સમયમાં કરવાની કામગીરીને લઈને કોઈ બ્લુ-પ્રિન્ટ ?જવાબ : માખીયાળા ગામમાં ગેસના કનેક્શન અપાયા એ જ રીતે અન્ય ગામોમાં પણ એ વ્યવસ્થા કરવાની છે, જૂનાગઢ શહેરને ફાટક મુક્ત કરવાની દિશામાં પણ કામ થઈ રહ્યું છે, ગીરનાર પર પણ પગથિયાથી લઈને ઘણું ડેવલપમેન્ટ કરવાનું છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ સફાઈ, પાણી, રોડ રસ્તા, આરોગ્ય અને શિક્ષણની સુવિધા શહેર જેવી બને એ બાબત પણ વિચારાધિન છે. સવાલ : તમારી હાલની ભૂમિકા અથવા પદ પર કામ કરવામાં કોઈ રોચક વાત કે મોટો પડકાર હોય તો એ શું છે ? જવાબ : જુનાગઢ કોર્પોરેશનના અધિકારીઓનો પ્લાનિંગ વિનાનો અણઘડ વહીવટ એ જ અત્યારે તો મારા માટે સૌથી મોટો પડકાર છે. સવાલ : આપની નેતૃત્વની કાર્યશૈલીને કોઈ એક વાક્યમાં કહેવી હોય તો શું હોઈ શકે ? જવાબ : ભ્રષ્ટાચાર મુક્ત શાસન, ગેર વહીવટનો વિરોધ અને જૂનાગઢ વિધાનસભાનું હિત એ મારું હિત. હું હંમેશા જૂનાગઢને નુકસાન કરનારની સામે જ હોઈશ.
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તારીખ 6 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ- વાલીઓ સાથે સંવાદ, શાળાઓની મુલાકાત, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ તેમજ સમીક્ષા બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રીના વિદ્યાર્થી- વાલીઓ સાથેના ટોક શોમાં વાલીઓએ મંત્રીને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં એક વાલીએ મંત્રીને કહ્યુ કે, સરકાર દ્વારા જિલ્લામાં સરકારી સાયન્સની શાળા ચલાવવામાં આવી રહી છે. પરંતુ તે શાળામાં જેઇઇ, નીટની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવતી નથી જેને કારણે સરકારી શાળામાં ભણતા સાયન્સના વિદ્યાર્થીને આ પરીક્ષા માટેની તૈયારી બહાર ખાનગીમાં ઉંચી ફી સાથે કરવી પડી રહી છે. આ પ્રશ્નનો શિક્ષણમંત્રીએ જવાબ આપતા કહ્યુ કે, આ પ્રશ્ન મને અગાઉ પણ મળ્યો છે. આવનારા શિક્ષણ વર્ષમાં આ પ્રશ્નોને રજૂ કરી તેનુ નિરાકરણ લાવવામાં આવશે. ઉપરાંત વાલીઓએ શિષ્યવૃતિ સમયસર ન મળતી હોવાનુ તેમજ રમત-ગમતને અભ્યાસક્રમમાં ફરજીયાત બનાવવુ જોઇએ તેવા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. શિક્ષણમંત્રીએ આ તમામ પ્રશ્નનુ વહેલી તકે નિરાકરણ આવશે તેવા આશ્વાસનયુક્ત જવાબો આપ્યા હતા. શિક્ષણમંત્રીના આ કાર્યક્રમોમાં કમિશનર તેજસ પરમાર, ધારાસભ્ય સંજય કોરડીયા, ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાય, ડે. મેયર આકાશ કટારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કન્યા શાળા નં. 4માં બાળકો સાથે ભોજન લઇ ખો-ખોની રમત રમીરાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન શહેરમાં ગોધાવાવ પાટીમાં આવેલ પીએમશ્રી કન્યા શાળા નંબર 4 શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાય, શાળાના આચાર્ય અલ્તાફ વિરાણી સહિતનાઓને સાથે શાળામાં કરેલ ઓર્ગેનિક ફાર્મીંગ, સાયન્સ લેબ તેમજ મધ્યાનભોજનની મુલાકાત લઇ માહિતગાર થયા હતા. ઉપરાંત અહીં જ શાળાના વિદ્યાર્થીઓ સાથે મધ્યાનભોજન લીધુ અને ખો-ખોની રમત પણ રમી હતી.
હવામાન વિભાગની આગાહી:શિવરાત્રિના મેળા દરમિયાન ગરમી વધશે, તાપમાન 36 ડિગ્રી રહેશે
છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ સહિત સોરઠમાં તાપમાન અવિરત વધી રહ્યુ છે ત્યારે ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળા દરમિયાન શહેરમાં ગરમી વધશે અને મહતમ તાપમાન 36 ડિગ્રી રહેશે. બુધવારથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના આસી. પ્રોફેસર ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, આગામી 3 દિવસ રવિવાર સુધી તાપમાન 33 થી 34 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે મહાશિવરાત્રી મેળા દરમિયાન ગરમીનો સામનો કરવો પડશે અને જૂનાગઢ શહેરનું મહત્તમ વધીને 36 ડિગ્રી રહેશે. પશ્ચિમી વિક્ષોભની ઓછી અસરના કારણે ગરમીનું પ્રમાણ છેલ્લા ત્રણ દિવસથી વધી રહ્યું છે. શિયાળો તેના અંત તરફ આગળ વધી રહ્યો છે અને ઉનાળો શરૂ થઈ રહ્યો છે. દરમ્યાન 24 કલાક બાદ શુક્રવારની સવારે લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટી જૂનાગઢમાં 15.6 જ્યારે ગિરનાર પર્વત પર 10.6 ડિગ્રી નોંધાયું હતુ. જેના પરિણામે પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા રહેતા શહેરમાં ગુલાબી ઠંડી વધી હતી. સવારથી પ્રતિ કલાકે પવનની 2.5 કિલોમીટરની મંદ ગતિ રહેતા ગુરુવારની સરખામણીએ શુક્રવારે મહત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 33.6 ડિગ્રીએ પહોંચી જતા અને હવામાં ભેજ ઘટીને માત્ર 25 ટકા થઈ જવાના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું હતું. જેના પગલે જૂનાગઢના શહેરીજનો ત્રાહિમામ થઇ ગયા હતા. રવિવાર સુધી 33 થી 34 ડિગ્રીબુધવારથી સવાર અને બપોરના તાપમાનમાં વધઘટ જોવા મળી હતી. લઘુતમ તાપમાન ઘટવાની સાથે મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડતા મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ આગામી રવિવાર સુધી સવારે, સાંજે ઠંડીની અનુભૂતિ થશે. બપોરનું તાપમાન 33 થી 34 ડિગ્રી રહેવાની શક્યતા છે. વ્હેલી સવારે અને સાંજે ઠંડી રહેશે અત્યારે શિયાળાના અંતિમ દિવસો શરૂ છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે પરંતુ પશ્ચિમની વિક્ષોભની અસર ઓછી હોવાથી વહેલી સવારે અને સાંજે ઠંડીનું પ્રમાણ રહેશે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે.
ભાસ્કર એક્સક્લુસિવ:મિશ્ર ઋતુથી શરદી ઉધરસ વધ્યા, સિવિલમાં દૈનિક 250 દર્દી : હજુ કેસ વધવાની શક્યતા
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હાલ વહેલી સવારે ઠંડી બપોરના સમયે એકા-એક ઉનાળા જેવી ગરમી પડતા છેલ્લા ઘણા દિવસથી મિશ્રઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જેને કારણે શરદી- ઉધરસ જેવા વાઇરલ ફલુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં શરદી- ઉધરસના દર્દીની રોજની 300 ઓપીડી નોંધાય રહી છે. જૂનાગઢ સિવિલના તબીબે જણાવ્યુ કે, હાલ જૂનાગઢમાં વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી તેમજ બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે. વાતાવરણમાં થતા ફેરફારને લઇ મિશ્રઋતુ દેખાતા લોકોમાં શરદી- ઉધરસ જેવા રોગોએ માજા મુકી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં રોજના 300 દર્દીઓ આ રોગના ભરડામાં જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને 15 થી 50 વર્ષ સુધીના લોકો નોંધાઇ રહ્યા છે. મિશ્રઋતુને કારણે જ સિવિલમાં જનરલ વોર્ડમાં આ રોગોની ઓપીડી વધી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર 100 દર્દીએ 80 શરદી- ઉધરસના નોંધાઇ રહ્યા છે. ઉજાગરા, લગ્નની સિઝનને કારણે પણ અસરહાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જેને કારણે લોકો સતત એકગામથી બીજા ગામે અવર-જવર વધી જાય છે. સાથો સાથમોડે સુધી ઉજાગરા થતા પુરતી ઉંઘ ન થવી અને પ્રસંગોમાં ગરમીની વચ્ચે તીખા-તળેલા ખોરાકનુ સેવન વધી જતા પણશરદી-ઉધરસ જેવા રોગો થવાની શક્યતા વધી રહી છે. આ કાળજી રાખવી જરૂરી
ફરિયાદ:વૃદ્ધ માતા-પિતા પર પુત્રનો હુમલો
શહેરમાં હરિયા કોલેજ રોડ પર સિદ્ધાર્થ નગર શેરી નંબર -૨ માં રહેતા ભરતભાઈ સામતભાઈ સૌંદરવા (ઉ.વ.70) નામના વૃધ્ધ પોતાના ઉપર તેમજ પોતાના પત્ની લક્ષ્મીબેન ઉપર હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ ઘરમાંથી ધરાર પૈસા આપવાની માંગણી કરવા અંગે પોતાના જ પુત્ર રાજેશ ભરતભાઈ સોંદરવા સામે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવાયા અનુસાર પતિને બે પુત્રો છે, જેમાંનો મોટો પુત્ર આરોપી રાજેશ કે જે કોઈ કામ ધંધો કરતો નથી, અને માતા-પિતા પાસે પૈસાની માંગણી કરે છે. ગઈકાલે પોતાની માતા ઉપર હુમલો કરી દઈ પૈસાની માંગણી કરતાં છોડાવવા માટે પીતા વચ્ચે પડ્યા હતા, જેને પણ માર મારી ધમકી આપતાં આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. ત્યાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એન. ત્રિવેદીએ રાજેશ સૌંદરવા સામે ગુનો નોધ્યો છે.
ચોરી:વાડીમાંથી 174 મણ મગફળીની તસ્કરી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ઘેલાભાઈ કરસનભાઈ વકાતર (ઉ.વ.35) નામના ખેડૂતે પોતાની વાડીની ઓરડીમાં રાખેલી રૂ.2,43,600ની કિંમતની 174 મણ મગફળીની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂતે પોતાની વાડીમાંથી મગફળીનો પાક તૈયાર કરીને જુદી જુદી 87 બેગમાં કુલ 174 મણ મગફળીનો જથ્થો તૈયાર કરીને ઓરડીમાં રાખ્યો હતો. જે મગફળી ગત તા.27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. જે ફરિયાદના આધારે લાલપુરના પી.એસ.આઈ કે. એલ. ગળચર અને તેઓની ટીમેં બનાવના સ્થળે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરીની ઘટનાથી ગામમાં સારી એવી ચકચાર મચી જવા પામી છે. ગામ લોકો વાડીએ રખોપુ કરતા થઈ ગયા છે. ગ્રામ્ય પંથકમાં માતબર વજનની મગફળીનો જથ્થો ઉઠાવી જનારા તસ્કરોને સકંજામાં લેવા પોલીસે કવાયત શરૂ કરી છે.

33 C