SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગાંજો મળ્યો:NSUIએ રેડ કરતા કેટલાક શખસો ભાગ્યાં, ગાંજો, દારૂની ખાલી બોટલો અને ગોગોપેપર મળ્યાં; કુલપતિનો લૂલો બચાવ

એકબાજુ રાજ્ય સરકાર અને પોલીસ પ્રસાશન દ્વારા નશીલા પદાર્થોના સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનાગરમાં સરકાર અને પોલીસની કામગીરીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. આજરોજ (20 જાન્યુઆરી) NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખે મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી ભાવનગર શહેરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસમાં રેડ કરી હતી. આહીં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક અવાવરું સ્થળ પર તપાસ કરતા દારૂ-ગાંજાનો નશો થતો હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન સ્થળ પર વિદ્યાર્થીઓ નશીલા પદાર્થનું વેશન કરતા હતાં. જ્યારે NSUI સ્થળે પહોંચ્યું તો નશો કરનારા નાસી છૂટ્યા હતાં. તપાસ દરમિયાન એક બાઈકમાંથી અંદાજિત 150/200 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. તે સ્થળેથી 20થી વધુ દારૂની ખાલી બોટલો, તેમજ નશીલા પદાર્થનું સેવન કરવા વપરાતા ગોગોપેપર સહિતની વસ્તુઓ મળી આવી હતી, સમગ્ર બનાવ અંગે NSUI દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને પંચનામાં સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. અહીં મોટો પ્રશ્ન એ છે કે, આ શિક્ષાના મંદિરમાં વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે અને તે નશાના રવાડે ચડતા હોય છે, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં નશીલા પદાર્થનો પ્રવેશ કેમ થયો? એ સોથી મોટો સવાલ ઉભો થયો છે. જ્યારે આ મુદ્દે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ બનાવને સ્વીકારી સાથે બચાવ પણ કર્યો હતો. વિદ્યાર્થીએ માહિતી આપી હતી કે નશો થાય છેઃ નરેન્દ્ર સોલંકીઅંગે ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્તના પ્રોગ્રામ કરવામાં આવી રહ્યાં છે, તેના માધ્યમથી આજે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટ્રકશનનો પ્રોગ્રામ હતો. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ યુનિવર્સિટી કેમ્પસની અંદર ખુલ્લેઆમ દારૂ-ગાંજાનું સેવન થઈ રહ્યું છે. ‘રેડમાં અમને 150થી 200 ગ્રામ જેટલો ગાંજો મળ્યો’આજે NSUI દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક રેડ પાડવામાં આવી હતી. કેમ્પસની આજુબાજુમાં હોસ્ટેલો છે, કેમ્પસમાં સ્પોટ ગ્રાઉન્ડ છે, જ્યાં વિદ્યાર્થીઓને નશાનું સેવન કરી રહ્યા હતા ત્યારે NSUIએ જનતા રેડ કરી હતી. આ રેડમાં 150થી 200 ગ્રામ જેટલો ગાંજો, કફ સીરપ જેનાથી નસો થાય, ગોગો પેપર, દારૂની ખાલી બોટલો મળી આવી હતી. એટલે અહીંયા આવીને એવું થાય કે, આ શું બાર છે કે નશાનું સેવન કરનારું કેમ્પસ છે કે શિક્ષા નું કેમ્પસ છે. ‘આ દુષણને રોકવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે’આ ગાંધી અને સરદારના કેમ્પસમાં આજે હું ગૃહ મંત્રીને હર્ષ સંઘવીને પૂછવા માગું છું કે, મોટી-મોટી વાતો કરનારા આ શિક્ષાના ધામમાં આવડી માત્રામાં નશાનું પ્રમાણ વધતું હોય તો તમે ક્યાં શું કામ કરી રહ્યા છો? આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની પણ છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે વિનંતી કરીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ તો આવું ને આવું રહેશે તો યુવા પેઢી બરબાદ થઈ જશે. આપણે આપણા યુવા પેઢીને બરબાદ ન થવા દેવા હોય તો આ ડ્રગ્સ માફિયાઓ આવા દારૂ માફિયાઓ ઉપર કડક પગલાં લેવા જોઈએ. અન્યથા આવનાર દિવસોમાં આવી જ રીતે ક્યાંક કેમ્પસો અથવા તો યુનિવર્સિટીમાં આવા પ્રકારના કાર્યો થતા હશે તો NSUI જનતા રેડ કરીને ખુલ્લા કરશે. સિક્યુરિટી 24 કલાક એક જગ્યાએ ઉભી હોય એવું શક્ય ન બનેઃ કુલપતિઆ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ભરત રામાનુજએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે, એ આપણા સૌ માટે ગંભીર બાબત છે. આવું ન થવું જોઈએ. એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે, પરંતુ આવડું મોટું 200 એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય જ્યાં નિયમિત અવરજવરની વ્યવસ્થા ન રહેતી હોય. 24 કલાકની અંદર સિક્યુરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યુરિટી 24 કલાક ઉભી હોય એવું શક્ય પણ ન બને. આમ છતાં અમે એની કાળજી રાખીશું. ‘હવે આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું’મને માહિતી મળી છે કે, કોઈ જગ્યા એ કોઈ વિદ્યાર્થી સ્કૂટર ઉપર બેઠો હશે અને એક યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા એટલે એ લોકો ભાગી ગયા. એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે. એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ બનવા જોગ છે અને બન્યું પણ હોય અને સાચી વાત પણ હોય. પણ કોઈ આવીને આ કેમ્પસની અંદર સ્કૂટર લઈને બેઠું હોય તો નજર પણ ન હોય, સિક્યુરિટીનું ધ્યાન પણ ન હોય. આમ છતાં જેવી જ આ ખબર પડી, એટલે અમે તાત્કાલિક તે આખો વિસ્તારમાં સાફ-સફાઈ થાય અને સિક્યુરિટીને કડક ધ્યાન રાખવાની સૂચના તાત્કાલિક આપી દીધી છે. ફરીવાર યુનિવર્સિટીનો જે કંઈ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર સિક્યુરિટી વધારી અને આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:28 pm

ભાદરોલી ગ્રામજનોએ મનરેગા કામોના આરોપો નકાર્યા:કોંગ્રેસના નેતાઓ પર પંચાયતને બદનામ કરવાનો આક્ષેપ

કાલોલ તાલુકાના ભાદરોલી ગામના ગ્રામજનોએ મનરેગા યોજના હેઠળ થયેલા કામો અંગેના આરોપોને નકારી કાઢ્યા છે. ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ગામમાં થયેલા તમામ કામો સ્થળ પર ૧૦૦ ટકા પૂર્ણ થયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસના આગેવાનો રાજેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી અને શૈલેષભાઈ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને કામો સ્થળ પર ન થયા હોવા અને ખોટા બિલ ઉપાડી લેવાયા હોવાના કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઉપલી કક્ષાએથી આવેલી ટીમે આ કામોની તપાસ કરી લીધી છે અને પંચાયતને ક્લીનચીટ પણ મળી ચૂકી છે. તમામ કામો યોગ્ય રીતે પૂર્ણ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે ગામમાં અત્યાર સુધી સારો વિકાસ થયો છે અને સરપંચ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો પંચાયતની જૂની અદાવત રાખીને પંચાયત અને ભાજપના આગેવાનોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે ભાદરોલી ગામના મેઘરાજસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે આવા ખોટા આક્ષેપો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:25 pm

બોટાદના તુરખામાં ઘર્ષણનો મામલો:વધુ બે આરોપીઓ ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું; ધરપકડનો આંક છએ પહોંચ્યો

બોટાદના તુરખા ગામે પરિવાર પર હુમલો અને એક મહિલાના મોતના કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દિલીપ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથ ફુલાભાઈ ધાંધલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લાવી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓની આ ઘટનામાં શું ભૂમિકા હતી તે અંગે પોલીસે વિગતવાર માહિતી મેળવી હતી. આ હુમલો 15 જાન્યુઆરીના રોજ થયો હતો, જેનો મૂળ કારણ 12 જાન્યુઆરીએ એક સગીરાને ભગાડી જવા અંગે પરિવારે કરેલી ફરિયાદની દાઝ હતી. આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં 13 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો સહિત કુલ 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી હોસ્પિટલમાં દાખલ હતો. આજે વધુ બે આરોપીઓની ધરપકડ થતા, 15 આરોપીઓ પૈકી કુલ 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:16 pm

બાલાસર પોલીસે 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટ આપ્યા:મહિલા સશક્તિકરણ અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો

બાલાસર પોલીસે સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 300 મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરાયું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. બાલાસરના પીએસઆઈ વી.એ. ઝા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગોપાલ સોઢમે ઉપસ્થિત મહિલાઓને સશક્તિકરણ અને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કર્યા હતા. તેમને વિવિધ સાયબર ફ્રોડ અને સાયબર હેલ્પલાઈન નંબર 1930 વિશે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ટુ-વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે સમજાવવામાં આવ્યું હતું. આ પહેલના ભાગરૂપે 300 જેટલા બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએસઆઈ વી.એ. ઝા, વાડીલાલ સાવલા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, ત્રિકાલદાસજી મહારાજ, ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડો. અનંત હોંગલ અને સંયોજક ડો. સંજય પટેલ સહિત બાલાસર પોલીસ સ્ટાફ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:06 pm

ચાર અને એક વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા:સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે અમદાવાદ-ધ્રાંગધ્રાથી પકડ્યા

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ચાર અને એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક આરોપીને અમદાવાદના નરોડાથી અને બીજાને ધ્રાંગધ્રાથી પકડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સૂચનાથી સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ એન.એ. રાયમાએ ટીમના કર્મચારીઓને ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રાજુભાઈ ગાંડાજી પરમાર (રહે. દેવનંદન એપાર્ટમેન્ટ, નરોડા, અમદાવાદ)ને નરોડા આઈકોન રીંગરોડ, અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની કાયદેસરની કાર્યવાહી બાદ સાયલા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના જુગારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ફીરોજશા સલીમશા ફકીર (રહે. જૂની મોચીવાડા, ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રાના દિલ્હી દરવાજા પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:04 pm

પોરબંદરમાં કરોડોની જમીન છેતરપિંડીનો પર્દાફાશ:કૌટુંબિક વિવાદનો લાભ લઈ આરોપીઓએ કૌભાંડ આચર્યું

પોરબંદરના ખાપટ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. નાયરા પેટ્રોલ પંપની પાછળ રહેતા રાંભીબેન વેજા કાના ભુવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, પતિના દાદાની રાતડા સીમ, ખાપટ ગામે આવેલી ૨૫ વીઘા જમીનના હિસ્સા બાબતે પતિ અને તેમના બે ભાઈઓ વચ્ચે કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો લાભ ઉઠાવી આરોપી લાખા અરજન કેશવાલાએ ફરિયાદીના પતિનો વિશ્વાસ કેળવી તેમના હિસ્સાની જમીન પરત અપાવવાની લાલચ આપી સહીઓ મેળવી લીધી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, જમીનની માપણી વખતે આરોપીઓ રાજો મેર, વજશી આલાભાઈ ઓડેદરા ઉર્ફે વજશીમામા અને ઈબ્રાહીમ લાખાની હાજરીમાં ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. ફરિયાદીના પતિને ૩.૫ વીઘા જમીન મળ્યા બાદ, તેમની જાણ બહાર અને સહમતી વિના ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ જમીન રૂ. ૧ કરોડ ૪૨ લાખ ૫૦ હજારની કિંમતમાં કિશોર હાજાભાઈ આંત્રોલીયા અને આયુષ વિરમભાઈ કારાવદરાને વેચી દેવામાં આવી હતી. જમીન વેચાયા બાદ, તેનો કબજો કિશોર આંત્રોલીયા, આયુષ કારાવદરા અને દિલીપ હરભમભાઈ રાણાવાયાને સોંપવા માટે ફરિયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જમીન વેચાણની કુલ રકમમાંથી ફરિયાદીના પતિના બેન્ક ખાતામાં માત્ર રૂ. ૫૪,૯૪,૯૯૯ જમા કરાવવામાં આવ્યા હતા. બાકીની મોટી રકમ આરોપીઓએ પોતાના હિસ્સામાં વહેંચી લીધી હોવાનો આક્ષેપ છે. આરોપી લાખા કેશવાલાએ ફરિયાદીના પતિના ખાતામાંથી રૂ. ૨૬.૫૦ લાખ ચેક દ્વારા પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા, તેમજ અન્ય રકમ ATM મારફતે ઉપાડી લીધી હતી. વધુમાં, ફરિયાદમાં જણાવાયું છે કે જમીનના માલિક ન હોવા છતાં, આરોપી લાખા કેશવાલાએ નોટરી સમક્ષ ખોટું લખાણ કરી રૂ. ૩૦ લાખની રકમ મેળવી હતી. આ લખાણમાં દિલીપ રાણાવાયા અને ઈબ્રાહીમ લાખાએ સાક્ષી તરીકે સહીઓ કરી હતી. આ સમગ્ર કિસ્સામાં તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પતિ અને તેમના પરિવાર સાથે વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે દસ્તાવેજો, બેન્ક ટ્રાન્ઝેક્શન્સ અને આરોપીઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:53 pm

સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના ક્લાર્ક અને પ્યૂનની ધરપકડ:ઇડીએ સંજય અને નીતિનને ઉઠાવી લીધા, નવા ખુલાસાઓ થવાની શક્યતા

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ મામલે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ ઈડી દ્વારા વધુ બે લોકો ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક સંજય અને પ્યૂન નીતિન ઉઠાવી લેવામાં આવ્યા છે. 1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધી 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ઈડીને નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી પાસેથી જે મોબાઈલ ફોન, વ્હોટ્સએપ ચેટ, પીડીએફ ફાઇલ્સ અને ફોટોઝ મળ્યાં હતાં. જે તેણે ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલ સાથે શેર કર્યા હતા. એેનાથી લાંચનું આખું રેકેટ સ્થાપિત થયું હતું. આ લાંચ કેસ 10 કરોડનો હોવાનો ઘટસ્ફોટઈડીને મળેલા ડિજિટલ ડિવાઇસમાંથી જે શીટ્સ મળી છે એમાંથી કેવી રીતે જમીન હેતુફેરનું આખું સ્કેમ આચરવામાં આવતું હતું એનો ખુલાસો થયો હતો, જે 10 કરોડનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 1થી 68 નંબર સુધી અરજદારોનો હસ્ત લિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડચંદ્રસિંહ મોરીના ઘરેથી અમુક શીટ્સ પણ મળી હતી, જેમાં 1થી 68 નંબર સુધી અરજદારોનો હસ્ત લિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડ હતો. એમાં અરજદારનું નામ, લાંચની માગેલી અને મળેલી રકમ, દલાલોની સંડોવણી તથા અધિકારીઓ વચ્ચે લાંચની ભાગ બટાઈની વિગતો લખેલી હતી. આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. લાંચ સિસ્ટેમેટિકલી માગીને કલેક્ટ કરવામાં આવતી અને અરજીના જલદી નિકાલ સ્પીડ મની દ્વારા લાંચ લેતા હતા. જમીનની સ્કવેરમીટરદીઠ લાંચની રકમ ફિક્સ કરેલી હતી. આ લાંચ પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ચંદ્રસિંહ મોરી દ્વારા લેવામાં આવતી હતી. 1- આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું.2- લાંચ સિસ્ટેમેટિકલી માગીને કલેક્ટ કરવામાં આવતી અને અરજીના જલદી નિકાલ સ્પીડ મની દ્વારા લાંચ લેતા હતા.3- જમીનની સ્કવેરમીટરદીઠ લાંચની રકમ ફિક્સ કરેલી હતી. આ લાંચ પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ચંદ્રસિંહ મોરી દ્વારા લેવામાં આવતી હતી. જ્યારે 24 ડિસેમ્બરે ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને એમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું. ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણીચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું હતું કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દોસુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢિયે 5 વાગ્યે‎ EDએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર, નાયબ મામલતદાર,‎ ‎કલેક્ટરના પીએ, વકીલ અને‎ ‎ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. ‎‎રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી ‎‎હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો‎ ‎સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા ‎‎સંભાળ્યા બાદ નળસરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ‎ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ‎ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:33 pm

મોરબીમાં 3 લાખમાં લગ્ન, ત્રીજા દિવસે દુલ્હન ફરાર:છેતરપિંડી કેસમાં લુંટેરી દુલ્હન સહિત બે આરોપી જેલ હવાલે

મોરબીમાં એક યુવાન સાથે 3 લાખ રૂપિયામાં લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ છેતરપિંડીના કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે લુંટેરી દુલ્હન અને તેના એક સાથીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના દીકરાના લગ્ન કરાવવા માટે રાજુભાઈ તન્નાનો સંપર્ક થયો હતો. રાજુભાઈએ ચાંદની નામની યુવતી સાથે દીકરાના અમદાવાદ ખાતે લગ્ન કરાવ્યા હતા અને તે બદલ તેમની પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા. લગ્નના માત્ર ત્રણ દિવસ બાદ ચાંદનીએ તેના પિતાનું અવસાન થયું હોવાનું કહીને મોરબીથી જતી રહી હતી. ત્યારબાદ તે પરત ફરી ન હતી, જેના કારણે ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હતી. આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ બી.એ. ગઢવી અને તેમની ટીમે આરોપીઓ રજેશ જીવણભાઈ ઠકકર (48), રહે. સ્વામિનારાયણ પાર્ક, નવા નરોડા, અમદાવાદ અને ચાંદની રમેશભાઈ ઠાકોર (24), રહે. અસારવા, ઠાકોર વાસ, અમદાવાદની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે કરાયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ આરોપીઓ વિરુદ્ધ બહુચરાજી, ઈડર, રાજકોટ, દેહગામ અને મોરબી સહિતના વિસ્તારોમાં પણ આવા જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:30 pm

સુરત રેલવે સ્ટેશન પર માનવતાના દર્શન:મહિલા તબીબ અને યુવકોની સમયસૂચકતાથી બેભાન થઈ ઢળી પડેલા મુસાફરનો જીવ બચ્યો

કહેવાય છે કે 'સેવા પરમો ધર્મ', આ ઉક્તિ સુરત રેલવે સ્ટેશન પર સાચા અર્થમાં સાર્થક થતી જોવા મળી હતી. રેલવે સ્ટેશનના ભીડભાડ વાળા વિસ્તારમાં અચાનક બેભાન થઈ ઢળી પડેલા એક મુસાફર માટે ત્યાં હાજર મહિલા ડોક્ટર અને સ્થાનિક યુવકો 'દેવદૂત' બનીને આવ્યા હતા, જેના કારણે એક કિંમતી જીવ બચાવી શકાયો છે. યુવકને અચાનક ચક્કર આવતા બેભાન થઈ જમીન પર પટકાયોમળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલા એક યુવકને અચાનક ચક્કર આવતા તે બેભાન થઈને જમીન પર પટકાયો હતો. સ્ટેશન પર મુસાફરોની અવરજવર વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ સમયે સ્ટેશન પર હાજર એક મહિલા ડોક્ટરની નજર આ યુવક પર પડી હતી. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના યુવકની તપાસ શરૂ કરી હતી. ત્વરિત મેડિકલ સહાય અને યુવકોનો સાથમહિલા ડોક્ટરે યુવકની ગંભીર સ્થિતિ જોઈ તાત્કાલિક મેડિકલ ટીમને જાણ કરી હતી. આ દરમિયાન સ્ટેશન પર હાજર અન્ય જાગૃત યુવકો પણ મદદે દોડી આવ્યા હતા. ડોક્ટરના માર્ગદર્શન હેઠળ યુવકોએ પ્રાથમિક સારવારમાં મદદ કરી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ડોક્ટરે સમયસર યુવકની નાડ તપાસી તેને જરૂરી પ્રાથમિક સારવાર આપી, જેથી તેની સ્થિતિ વધુ બગડે નહીં. હાજર યુવકોએ ચાદરની વ્યવસ્થા કરવામાં અને દર્દીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. હોસ્પિટલમાં સારવાર હેઠળ108 મારફતે યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમયસર પ્રાથમિક સારવાર મળી જવાથી યુવકની સ્થિતિ અત્યારે સ્થિર છે અને તે ભયમુક્ત છે. જો ડોક્ટર અને પેલા યુવકોએ સમયસર મદદ ન કરી હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત. ખરેખર આજે સુરત સ્ટેશન પર માનવતા જીવતી હોવાનો પુરાવો મળ્યો છે. કટોકટીના સમયે દાખવેલી થોડીક જાગૃતિ કોઈનો જીવ બચાવી શકેરેલવે સ્ટેશન પર હાજર અન્ય લોકોએ મહિલા ડોક્ટર અને મદદે આવેલા યુવકોની આ કામગીરીને બિરદાવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કટોકટીના સમયે દાખવેલી થોડીક જાગૃતિ કોઈનો જીવ બચાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:29 pm

ધરોઈ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના વિરોધમાં પાંચ ગામના ખેડૂતો આકરા પાણીએ:મહેસાણા કલેક્ટર કચેરીએ ધરણાં કરી આવેદનપત્ર આપ્યું, આંદોલનની ચીમકી ઉચ્ચારી

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા સ્થિત ધરોઈ જળાશય યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકાર દ્વારા હાથ ધરાયેલા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરોઈ ડેવલોપમેન્ટના કારણે પાંચ ગામના ખેડૂતો પોતાની હક્કની જમીન ગુમાવી દેશે તેવી ભીતિ વચ્ચે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સરપંચોએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પાંચ ગામની જમીન સંપાદન થતાં ખેડૂતોમાં રોષસરકાર દ્વારા ધરોઈ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની યોજના અંતર્ગત ધરોઈ, ફત્તેપુરા, મ્હોર, બાપસર અને અંબાવાડા એમ પાંચ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પાંચેય ગામના ખેડૂતોની જમીન ધરોઈ ડેવલોપમેન્ટ સત્તા મંડળમાં જવાની હોવાથી સ્થાનિક ખેડૂતો સાવ જમીન વિહોણા થઈ જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સરપંચો સાથે લોકોના કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણાંઆ મામલે પોતાનો વિરોધ નોંધાવવા માટે પાંચેય ગામના સરપંચો અને અગ્રણીઓ કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણાં પર બેઠા હતા અને સુત્રોચ્ચાર કરી પોતાની જમીન બચાવવા માંગ કરી હતી. 'ખેડૂતો પાસે માત્ર જીવવા પૂરતી જ થોડી જમીન બચી છે'આ અંગે ધરોઈ ગામના સરપંચ ધનાજી ભાટીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ જ્યારે ધરોઈ ડેમનું નિર્માણ થયું હતું ત્યારે પણ આ જ ગામોના ખેડૂતોએ ડેમ માટે પોતાની મહામૂલી જમીન આપી દીધી હતી. હવે જ્યારે ખેડૂતો પાસે માત્ર જીવવા પૂરતી જ થોડી જમીન બચી છે, ત્યારે ધરોઈ સત્તા મંડળ દ્વારા ફરીથી આ જમીન છીનવી લેવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ જમીન સંપાદિત કરી લેવામાં આવશે તો ખેડૂતો પાસે રોજગારી કે ગુજરાન ચલાવવા માટે કોઈ સાધન બચશે નહીં. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનનીખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં ડેમ માટે જમીન આપ્યા બાદ હવે બાકી બચેલી જમીન પર જ ખેડૂતોનો આજીવિકાનો આધાર છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે અને જમીન સંપાદનની પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:28 pm

સાળંગપુરમાં હનુમાનજીને 251 કિલો બુંદીના લાડુનો અન્નકૂટ:દાદાનો દિવ્ય શણગાર કરાયો, ભક્તો ઉમટી પડ્યા

સાળંગપુરધામ ખાતે મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને 251 કિલો બુંદીના લાડુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો. હનુમાનજી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા કલાત્મક વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને રંગબેરંગી શેવંતી અને ઓર્કિડના મિશ્ર ફૂલો વડે શણગારવામાં આવ્યું હતું. આ અન્નકૂટ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. મંગળવારના વિશેષ દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં પવિત્ર મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં અનેક યજમાનોએ આહુતિ આપી હતી. દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘જય કષ્ટભંજન’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:27 pm

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ યોજાયો:રાજ્યપાલ દેવવ્રતે કહ્યું, ગાંધીજી સંસ્કૃત ન ભણી શક્યા તે દુર્ભાગ્ય

વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ મંગળવારે ભવ્ય રીતે યોજાયો હતો. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં સંસ્કૃત વિદ્યા, સંશોધન પરંપરા અને ભારતીય જ્ઞાનપરંપરાનું ગૌરવસભર દર્શન થયું હતું. સમારોહ દરમિયાન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 902 ડિગ્રી પ્રમાણપત્રો તથા ગોલ્ડ-સિલ્વરના કુલ 31 પદકો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા. સંસ્કૃત શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ રહી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃતના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, દુનિયાના નિર્માણને અંદાજે 1 અબજ 96 કરોડ 08 લાખ 53 હજાર 126 વર્ષ થઈ ચૂક્યા છે અને આટલા લાંબા સમયથી માનવ સંસ્કૃતિ સાથે જ્ઞાન, શોધ અને સંશોધનની પરંપરા અવિરત ચાલી આવી છે. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતમાં શોધ અને સંશોધન કોઈ નવી બાબત નથી. અનાદિ કાળથી આપણા ઋષિમુનિઓએ જ્ઞાનસાધના દ્વારા વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. તેમના શબ્દોમાં, અંગ્રેજીનો ‘Research Crawler’ શબ્દ એ ‘ઋષિ’ શબ્દનો અપભ્રંશ છે, અને ભારતવર્ષનો દરેક ઋષિ એક સંશોધક હતો. તેમણે પ્રશ્નાર્થ રીતે જણાવ્યું કે, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, મીમાંસા જેવી ઊંડાણસભર વિદ્યાઓ શું સંશોધન વિના રચાઈ શકી હોત? આ તમામ શાસ્ત્રો આપણા ઋષિઓની તપસ્યા અને બૌદ્ધિક સંશોધનનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે, સંપૂર્ણ તત્વજ્ઞાન અને વર્તમાન જ્ઞાન આપણા વેદો, ઉપનિષદો, શાસ્ત્રો અને દર્શનગ્રંથોમાં સમાયેલું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગાંધીજીએ પોતે કહ્યું હતું—“મારું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે હું સંસ્કૃત ભણી શક્યો નથી.” તેમણે જણાવ્યું કે, જે લોકો સંસ્કૃતથી વંચિત રહે છે તેમનું જીવન ઘણી વખત અધૂરું રહી જાય છે. તેથી વેદભાષા સંસ્કૃતનો વ્યાપક પ્રચાર-પ્રસાર આજના સમયમાં અત્યંત જરૂરી છે. રાજ્યપાલે પ્રશંસા કરતાં જણાવ્યું કે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને તેની સંલગ્ન વિદ્યાલયો સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાના સંવર્ધનમાં મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. જુનાગઢ ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ અને યુનિવર્સિટી વચ્ચે થયેલા MOU અંતર્ગત, આ વર્ષે પણ ગુજરાતના સંસ્કૃત વિદ્વાન હરિપ્રસાદ યાદવરાય બોબડેને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2026 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ દીક્ષાંત સમારોહમાં દિલ્હી સ્થિત સ્વામીનારાયણ શોધ સંસ્થાનના નિયામક ભદ્રેશદાસ સ્વામી, તેમજ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી ના કુલપતિ પ્રો. મુરલી મનોહર પાઠક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. 18મા દીક્ષાંત સમારોહે સંસ્કૃત વિદ્યા, સંશોધન પરંપરા અને ભારતીય જ્ઞાનસંસ્કૃતિના વૈભવને ફરી એકવાર ઉજાગર કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રેરક ઉદબોધનથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે ગૌરવ અને જવાબદારીની ભાવના વધુ દ્રઢ બની.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:21 pm

લંડનમાં રહેતું કપલ સમુહલગ્ન કરશે:આહીરા સમાજના સમુહલગ્નમાં 50 ડોક્ટર-એન્જિનિયર સહિત 194 યુગલ પ્રભુતામાં પગલાં પાડશે, CM-DYCM હાજર રહેશે

સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ આયોજીત 32માં સમૂહલગ્ન સમારોહ 23 જાન્યુઆરીના રોજ 194 નવયુગ્લો પ્રભુતામાં પગલા માંડશે. નવયુગલોને આશિર્વાદ પાઠવવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. આ સમૂહ લગ્નમાં એક વિશેષ એક નંબરનો મંડપ છે જેમાં લંડન રહેતા યુવક-યુવતી લગ્ન કરશે. આ સાથે 50 ડોક્ટર એન્જિનિયર પણ સમૂહલગ્નમાં કરી રહ્યા છે. લંડનમાં રહેતા દીકરા-દીકરીએ સમાજની વ્યવસ્થા સ્વીકારી: જીતુભાઈ કાછડઆહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે અને 23 જાન્યુઆરીએ 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ લગ્ન પ્રસંગમાં અમારી પાસે એક આનંદનો વિષય એ છે કે આમાં એક નંબરનો જે મંડપ છે, એ દીકરો અને દીકરી બંને લંડનની અંદર જોબ કરે છે પણ એને સમાજની વ્યવસ્થાને સ્વીકારી અને આજે આ સમૂહલગ્નમાં જોડાયા છે. 'સમુહલગ્નમાં 50 ડોક્ટર અને એન્જિનિયર યુગલ'આવા 194માંથી લગભગ 50 દીકરા-દીકરીઓ એવા છે કે જે ડોક્ટર અને એન્જિનિયર છે. એ એમના લગ્ન સમૂહલગ્નમાં કરે છે, એ સમાજની યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે છે કે સામાન્ય પરિવારને મજબૂત કરવો હશે તો સમાજ વ્યવસ્થાની અંદર જોડાશો તો 100% સમાજની પ્રગતિ થશે. 'કરિયાવરો કે અન્ય કોઈ ખોટી હરીફાઈઓ કરવી નહીં'આની સાથે સાથે સામાજિક બંધારણ કે ખોટા ખર્ચ કઈ રીતે બચાવી શકાય? તો વરઘોડા કાઢવાની, ફટાકડા ફોડવાની, કરિયાવરો પાથરવાની કે કોઈ ખોટી હરીફાઈઓ કરવી નહીં. પરિવાર-પરિવાર વચ્ચેની. આ સામાજિક બંધારણને કારણે આજે પરિવારો મુક્ત થયા છે અને જે અમુક આપણા રિવાજોને કારણે સ્થિતિ સારી હોય કે ન હોય, પણ સમાજમાં રહેવા માટે અમુક વસ્તુ જે ફરજિયાત કમ્પલસરી હતી, એને અમે ક્યાંક ને ક્યાંક એમાંથી પરિવારોને મુક્ત કર્યા છે. 'એક લાખ લોકો દીકરા-દીકરીઓને આશીર્વાદ આપશે'આ સમાજની વ્યવસ્થામાં જોડાઈને આજે એક લાખ લોકો આ દીકરા-દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. 300 આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને આની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓને જોડીને, પછી શહેરની ટ્રાફિકની વાત હોય તો વરઘોડા નહીં કાઢવા એ પણ એક સમસ્યા છે, તો તેની સાથે આરોગ્યની વાત હોય તો આજે આહીર સમાજના 200 ડોક્ટરો અહિંયા ટીમ સાથે ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કેમ્પ અને આરોગ્ય માટેની જાગૃતિની વાત કરશે. 'સમાજને નવી દિશા આપવા અમારો પ્રયાસ'સુરતમાં આહીર સમાજનું વકીલ એસોસિએશન છે તો એ આજે સાયબર ગુનાઓ બને છે એના માટે કઈ રીતે બચી શકાય એના માટેની પણ અહીંયા વાતો થવાની છે. એટલે આ મંચના માધ્યમથી સમાજની વ્યવસ્થાને અનેક ભાગમાં સ્પર્શ કરીને એક સમાજને નવી દિશા આપી શકાય એના માટેનો પૂરો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. 'અમે એમના ઘર સુધી બધી જ વસ્તુઓ પહોંચાડી દીધી'અંદાજે દીકરીઓને જે અમે કરિયાવર આપીએ છીએ એમાં 51 વસ્તુ આપીએ છીએ. આપણે ત્યાં એમ કહેવાય છે કે દીકરી એનું ઘર ચાલુ કરવું હોય તો સમાજે આપેલો કરિયાવર છે એ એના ઘરમાં જાય એટલે એનું ઘર ચાલુ થઈ જાય. એ રીતની ટોટલ 51 વસ્તુઓમાંથી લઈ અને માનો કે ચમચીથી લઈ અને કબાટ સુધી, બેડ સુધીની વસ્તુ આજે એના ઘરે પહોંચી ગઈ છે. એક મહિના અગાઉ એમના ઘરે અમે અહીંથી વ્યવસ્થા કરી અને કોઈ એને મુશ્કેલીઓ ન પડે એના માટે થઈને અમે એમના ઘર સુધી બધી જ વસ્તુઓ પહોંચાડી દીધી છે. CM, DYCM સહિતના આગેવાનો હાજરી આપશેનવયુગલોને આશિર્વાદ પાઠવવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા અને મંત્રીઓ અને ધારાસભ્યો અને સુરત શહેરભરમાંથી અને ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે. ભાવી પેઢીનાં ઘડતર માટે પૈસાનો સદઉપયોગ કરવા આહવાનઆ સમારોહમાં નવયુગલોને આશિર્વાદ પાઠવવા 1,00,000 કરતાં વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આહીર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજીક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની 21મી સદીમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સામાજીક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવી પેઢીનાં ઘડતર માટે બચત કરેલા પૈસા વાપરી સદઉપયોગ કરવા સમાજનાં આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે. વિવિધ સંસ્થાના 300 કરતાં વધારે યુવાનો સેવા આપશેઆ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતી અભિયાન, તેમજ જળ એજ જીવનના સુત્રને સાર્થક કરવાં અનેક વિધ કાર્યક્રમો કરવમાં આવી રહ્યા છે. સમૂહલગ્ન મહોત્સવ દ્વારા જન જાગૃતી લાવી, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગલ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વયં સેવક તરીકે વિવિધ સંસ્થાના 300 કરતાં વધારે યુવાનો સેવા આપશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:07 pm

ઝાલોદ કોર્ટમાં 23 વર્ષીય મહિલા વકીલ ઢળી પડ્યા:સારવાર દરમિયાન મોત, હાર્ટ એટેકની આશંકા

ઝાલોદ કોર્ટમાં ફરજ દરમિયાન 23 વર્ષીય મહિલા વકીલ વૈશાલી હઠીલાનું અચાનક ચક્કર આવતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાથી કોર્ટ પરિસર અને તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના રહેવાસી વૈશાલી હઠીલા ગઈકાલે ઝાલોદ કોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન તેમને અચાનક ચક્કર આવ્યા અને તેઓ કોર્ટ પરિસરમાં જ ઢળી પડ્યા હતા. આ ઘટનાને પગલે હાજર વકીલો અને કોર્ટ સ્ટાફમાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા વૈશાલીને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, વૈશાલીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. યુવાન વયે થયેલા આ અવસાનથી પરિવાર, સગાસંબંધીઓ, મિત્રવર્તુળ અને કોર્ટના સહકર્મીઓમાં દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:04 pm

OLX પર કાર વેચવી રાણીપના યુવકને મોંઘી પડી:સાબરકાંઠાના આરોપીએ 65 હજારનો ચેક આપ્યો; બેંક એકાઉન્ટ જ બંધ હોવાનું ખુલ્યું

રાણીપ વિસ્તારમાંથી ઓનલાઈન ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ચિરાગ પટેલને ઓનલાઇન ગાડી વેચવાનો સોદો કરવો ભારે પડ્યો છે. ચિરાગ પટેલે પોતાની ગાડી વેચવા માટે OLX પર જાહેરાત આપી હતી. જે બાદ સાબરકાંઠાના કમલપુર ગામમાં રહેતા ભૌતિકગીરી ગૌસ્વામીએ સંપર્ક કરીને 65,000માં ગાડી ખરીદી હતી. ગાડી ખરીદી કરતા સમયે ફરિયાદીને 65,000નો ચેક આપી થોડા દિવસમાં રોકડા પૈસા આપવાનો વાયદો કર્યો હતો. રોકડા પૈસા ન મળતા ફરિયાદીએ જ્યારે બેંકમાં ચેક જમા કરાવ્યો ત્યારે બેંક એકાઉન્ટ જ બંધ હોવાનું સામે આવ્યું હતું. જો કે તે બાદ અનેક વખત પૈસા આપવા અથવા ગાડી પરત આપી જવા કહ્યું હતું, પરંતુ ગાડી લીધા બાદ પણ પૈસા ન આપતા ફરિયાદીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીઓ OLX પર કારની જાહેરાત મુકી હતીરાણીપ વિસ્તારમાં રહેતા ચિરાગ પટેલે 2013માં ખરીદેલી મારુતિ કંપનીની કાર વેચવાનું નક્કી કર્યું હતું. જેથી કાર વેચવા માટે ડિસેમ્બર, 2025માં OLX નામની વેબસાઇટ પર જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈ સાબરકાંઠાના કમલપુરમાં રહેતા ભૌતિકગીરી રમેશગીરી ગૌસ્વામીએ ગાડી લેવા માટે ચિરાગનો સંપર્ક કર્યો હતો. જેથી રૂબરૂ જોવા માટે બોલાવતા ભૌતિકગીરી રમેશગીરી ગૌસ્વામીને ગાડી પંસદ આવી ગઈ હતી, જેથી બંને વચ્ચે ગાડીનો ભાવ તાલ નક્કી કરવામાં આવ્યો હતો. કાર અન્યને વેચી રોકડા પૈસા આપવાની વાત કરીજે બાદ 65 હજારમાં ગાડી વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગાડી લેવાનું નક્કી કરી ભૌતિકગીરીએ પોતે ગાડીઓ લે-વેચનું કામ કરતા હોવાની ઓળખ આપી હતી. જેથી ગાડી પોતાના ટ્રાન્સફર કરવાની ના પાડી થોડા દિવસ પછી તે અન્ય ગ્રાહકને ગાડી વેચશે પછી તેના નામે ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. લોભામણી વાતો કરીને ભૌતિકગીરીએ ફરિયાદીને 65000 રૂપિયાનો IDFC બેંકનો ચેક આપ્યો હતો. ચેકમાં 21 ડિસેમ્બરની તારીખ લખવામાં આવી હતી, જેથી ફરિયાદીને વિશ્વાસમાં લઈને 21 ડિસેમ્બર પહેલા અન્ય ગ્રાહકને ગાડી વહેંચી રોકડા પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. બેંકમાં ચેક જમા કરાવતા ખાતુ બંધ હોવાનું સામે આવ્યુંજો 21 ડિસેમ્બર પહેલા ગાડી અન્ય કોઈને વહેંચી ન શકું તો ચેક વટાવી પૈસા ઉપાડી લેવા કહ્યું હતું. જ્યારે ફરિયાદીએ 21 ડિસેમ્બરના રોકડા પૈસા આપવાની વાત ભૌતિકગીરીને કરી ત્યારે તેણે બે દિવસમાં પૈસા આપવાની ખાતરી આપી ફરિયાદીને બેંકમાં ચેક જમા કરાવવા ન દીધો. જો કે તે બાદ પણ ફરિયાદીએ ફોન કરીને ગાડીના પૈસા માંગતા ભૌતિકગીરી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. અનેક વખત કહેવા છતાં પણ તેને ખરીદેલી ગાડીના 65000 રૂપિયા પરત ન આપ્યા. જો કે તે બાદ ફરિયાદીએ ગાડી પરત આપી જવાનું કહેતા ગાડી પરત પણ ન આપી. જો કે તે બાદ ફરિયાદીએ જ્યારે બેંકમાં ચેક જમા કરાવ્યા ત્યારે બેંક એકાઉન્ટ જ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ ભૈતિકગિરી સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:57 pm

HNGUમાં 36મો યુવા મહોત્સવ શરૂ:5 જિલ્લાની 132 કોલેજોના 1500થી વધુ કલાકારો ઉમટ્યા, યુવતીઓની સંખ્યા બમણી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે 20 અને 21 જાન્યુઆરીના રોજ બે દિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 132 કોલેજોમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે 992 યુવતીઓએ નોંધણી કરાવી છે, જે યુવકોની સંખ્યા કરતાં બમણી છે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત આ મહોત્સવનું ઉદ્ઘાટન નેશનલ કમિશન ફોર શેડ્યુઅલ કાસ્ટ (NCSC)ના ચેરપર્સન કિશોર મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર પોરિયા, રજિસ્ટ્રાર આર.એન.દેસાઈ, લોકગાયક સાગર પટેલ અને યોગીરાજ રૂખડનાથજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીત અને મહેમાનોના સન્માન સાથે થયો હતો. NCSCના ચેરપર્સન કિશોર મકવાણાએ ઉદ્ઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનો દેશની સાચી સંપત્તિ છે. તેમણે કલ્પવૃક્ષને પરિશ્રમ અને સાધનાથી ઈચ્છાપૂર્તિ કરનારું ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નવી શિક્ષણ નીતિ અને આવા સાંસ્કૃતિક મહોત્સવો ‘વિકસિત ભારત@2047’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કલા અને સંસ્કૃતિ યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના અને સામાજિક સમરસતાના બીજ રોપે છે. યોગીરાજ રૂખડનાથજી મહારાજે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે આજના સમયમાં વ્યક્તિનું મન જ કલ્પવૃક્ષ છે, જે તેનો શત્રુ અને મિત્ર બની શકે છે. યુનિવર્સિટીના કુલપતિ કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે HNGU વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે યુવાનોને વિવેકાનંદ અને બાબાસાહેબ આંબેડકરના મૂલ્યો આત્મસાત કરી વિજ્ઞાન સાથે જોડાવા આહવાન કર્યું હતું. રજિસ્ટ્રાર આર.એન.દેસાઈએ આ મહોત્સવને યુવાઓની ઉર્જા અને નેતૃત્વનું પ્રતીક ગણાવ્યો હતો. મહોત્સવમાં લોકગાયક સાગર પટેલની શિવભક્તિની પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સોમનાથ મહાદેવના ઇતિહાસને રજૂ કરતા ગીતોથી હોલ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. આ વર્ષના આંકડા મુજબ, કુલ 1533 સ્પર્ધકોમાંથી 992 યુવતીઓ અને 536 યુવકો છે, જે કલાક્ષેત્રે દીકરીઓની બમણી ભાગીદારી દર્શાવે છે. સંગીત, નાટ્ય અને નૃત્ય જેવી 23 વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીનીઓએ મોટા પાયે ભાગ લીધો છે, જે બદલાતી સામાજિક માનસિકતાનું પ્રતિબિંબ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:49 pm

સાયબર ક્રાઈમે સોલાર પેનલ ઠગાઈ ગેંગના 5 સભ્યો પકડ્યા:જામનગરમાં સોશિયલ મીડિયાથી 100થી વધુ લોકોને છેતર્યા હતા

જામનગર સાયબર ક્રાઈમ સેલે સોશિયલ મીડિયા દ્વારા સોલાર પેનલ લગાવવાના બહાને 100થી વધુ લોકોને છેતરનાર એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 12 મોબાઈલ ફોન, બે સીપીયુ અને 8 બેંક પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ છેતરપિંડીનો પર્દાફાશ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક નાગરિકની ફરિયાદ બાદ થયો હતો. આ નાગરિકે પોતાના ઘેર સોલાર પેનલ ફીટ કરાવવા બાબતે એક ખાનગી કંપનીના બે સંચાલકો વિરુદ્ધ સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, આ ટોળકી 'ઇન્ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીની જાહેરાતો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપતી હતી. તેઓ લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવવાનું પ્રલોભન આપી, બેંકમાંથી લોન કરાવી, લોનની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. ત્યારબાદ સોલાર પેનલ ફીટ ન કરીને છેતરપિંડી આચરતા હતા.વધુ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ આ રીતે 100થી વધુ લોકો સાથે સાયબર ફ્રોડ કર્યું હતું. સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. છેતરપિંડીથી મેળવેલા આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના અંગત લાભ માટે કરતા હતા. આ નાણાં ઠગાઈના હોવા છતાં, આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 318(4), 61(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ 66(સી), 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હિરેનભાઈ નાથાલાલ લાઠીયા (ઉ.વ.37), ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા (ઉ.વ.36), રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ (ઉ.વ.52), અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.28) અને રામજી કમોદસિંઘ લોધી (ઉ.વ.25)ની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:44 pm

અરવલ્લી કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત:41 હોદ્દેદારોની નિમણૂક, પ્રદેશ પ્રમુખે મંજૂરી આપી

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે કુલ 41 હોદ્દેદારોની નિમણૂક કરી છે. આ નવા સંગઠન માળખામાં 4 ઉપપ્રમુખ, 15 મહામંત્રી અને 22 મંત્રીઓનો સમાવેશ થાય છે. આ નિમણૂકોથી અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત અને સક્રિય બનશે તેવી અપેક્ષા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાને સાથે રાખીને મોંઘવારી, બેરોજગારી, ખેડૂત સંકટ, રસ્તા, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય જેવી જનસમસ્યાઓને દૃઢતાપૂર્વક ઉજાગર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ પ્રજાના હક્ક માટે અવાજ ઉઠાવતો રહેશે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમને સંગઠનના હિતમાં નિષ્ઠાપૂર્વક અને સક્રિય ભૂમિકા નિભાવી, સંગઠનને તળિયે સુધી મજબૂત બનાવવા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:42 pm

બુલેટ ટ્રેન, ફ્રેઇટ કોરિડોરથી ભરૂચના ખેડૂતો મુશ્કેલીમાં:ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા, યોગ્ય નિકાલ ન થાય તો આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેન અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેતરોમાં ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આનાથી ચોમાસા દરમિયાન હજારો વિઘા જમીનમાં પાકને ભારે નુકસાન થાય છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ છે અને તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી બુલેટ ટ્રેનનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના અનેક ગામોમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ પ્રોજેક્ટ તેમજ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે અનેક ખેડૂતોએ પોતાની જમીન સરકારને સોંપી છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક પરથી પાણીના નિકાલ માટે પીવીસી પાઇપો પિલર્સની સાથે સીધા નીચે ઉતારી દેવાયા છે. આ પાઇપો મારફતે આવતું વરસાદી પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ જતું હોવાથી ખેતી કરવી મુશ્કેલ બની છે. મહુધલા, ત્રાલસી, ત્રાલસા, દયાદરા, કેલોદ, પીપરીયા, થામ, કંથારીયા સહિતના અનેક ગામોના ખેડૂતોને હજારો વિઘા જમીનમાં કરેલી ખેતીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણીના નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતાં વરસાદી પાણી પસાર થવામાં અડચણ સર્જાય છે. આ સમસ્યાના વિરોધમાં આજે ત્રાલસા અને ત્રાલસી સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, હાઇસ્પીડ રેલવે લાઇન અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર બંને જમીન સપાટીથી ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે, તેમ છતાં પાણીના નિકાલ માટે વૈજ્ઞાનિક અને યોગ્ય વ્યવસ્થા કરવાને બદલે સીધા પાઇપો નાખી દેવાયા છે. ખેડૂતો સ્પષ્ટ રીતે જણાવે છે કે તેમને વિકાસ કે પ્રોજેક્ટ સામે કોઈ વિરોધ નથી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. ખેડૂતોએ તંત્રને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખેતરોમાં ભરાતા વરસાદી પાણી અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:41 pm

GPSCની પરીક્ષાઓના લોકલેટરની તારીખો જાહેર:જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર સાત ભરતીની હોલ ટિકિટ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પ્રક્રિયાઓની પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાઓ માટે કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ અંગે મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સંબંધિત પરીક્ષાઓના કોલલેટર પરીક્ષા પૂર્વે નક્કી કરેલી તારીખે માત્ર ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોને GPSCની અધિકૃત વેબસાઇટ પરથી પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને કોલલેટર ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને આયોગની વેબસાઇટ પરથી કોલલેટર મેળવી શકશેઆયોગે સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ ઉમેદવારને પોસ્ટ કે અન્ય માધ્યમથી કોલલેટર મોકલવામાં નહીં આવે. પરીક્ષા કેન્દ્ર, તારીખ, સમય અને જરૂરી સૂચનાઓ કોલલેટરમાં જ દર્શાવવામાં આવશે. ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરીને તેની તમામ વિગતો ચકાસી લેવા અને પરીક્ષા દિવસે અનિવાર્ય રીતે સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ GPSC દ્વારા ઉમેદવારોને આયોગની વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેવા તથા તમામ સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:40 pm

કુખ્યાત આરોપીને દોરડા બાંધી પોલીસ રસ્તા પર લાવી, VIDEO:હત્યા, ફ્રોડ અને ખંડણીના આરોપી યુસુફ પઠાણે બે હાથ જોડી માફી માગી, લોકો ટોળે વળ્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદ સિદકી પાસે ચપ્પુની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લિંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપી વર્ષ 2019માં લખનઉમાં થયેલ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો. આજે લિંબાયત પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો સામે યુસુફએ હાથ જોડીને કહ્યું- ‘હવે ક્યારેય ગુનો નહીં કરું’, બીજી બાજુ લિંબાયત પીઆઈએ કહ્યું-'ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે'. આરોપી યુસુફ વિરુદ્ધ લુણાવાડામાં 5.50 કરોડના સાયબર ફ્રોડનો પણ ગુનો નોંધાયેલ છે. લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લખનઉના બહુચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડમાં જેનું નામ ઉછળ્યું હતું તેવા રીઢા ગુનેગાર યુસુફ પઠાણને લિંબાયત પોલીસે પકડી પાડી તેની સાન ઠેકાણે લાવી છે. જામીન પર મુક્ત થયા બાદ સુધરવાને બદલે ફરી ગુનાખોરીના રસ્તે ચઢેલા યુસુફને આજે જે-તે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભરબજારમાં હાથ જોડીને માંગી માફીજે વિસ્તારમાં યુસુફ પોતાની ધાક જમાવતો હતો અને લોકોને ડરાવતો હતો, આજે એ જ વિસ્તારમાં પોલીસ તેને ચલાવીને લઈ ગઈ હતી. પોલીસની કડકાઈ જોઈને માથાભારે યુસુફ નરમ પડી ગયો હતો. તેણે જાહેરમાં બંને હાથ જોડીને માફી માંગી હતી અને કબૂલાત કરી હતી કે તે હવે પછી ક્યારેય કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ કે ગુનો કરશે નહીં. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પુરાવા એકત્રિત કર્યાલિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કામલિયા અને તેમની ટીમે આરોપી યુસુફ પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફરિયાદી મોહમ્મદ સિદકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, યુસુફે તેમને ચપ્પુ બતાવી ડરાવી-ધમકાવીને તેમની કિંમતી ક્રેટા કાર અને તેની આરસી બુક પડાવી લીધી હતી. પોલીસે આજે સ્થળ પર જઈને આરોપીએ કઈ રીતે ગુનો આચર્યો, ક્યાં ચપ્પુ રાખ્યું હતું અને કઈ દિશામાં ભાગ્યો હતો તેની વિગતો મેળવી હતી. કમલેશ તિવારી મર્ડર કેસ અને કરોડોનું ફ્રોડઆરોપી યુસુફ પઠાણનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ચોંકાવનારો છે. વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના લખનઉમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેમાં યુસુફની સંડોવણી હોવાનું બહાર આવી હતી. આ ગંભીર ગુનામાં જેલવાસ ભોગવ્યા બાદ તે જામીન પર બહાર આવ્યો હતો. એટલું જ નહીં, તેની સામે અરવલ્લી જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશનમાં 5.50 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પણ ગુનો દાખલ થયેલો છે. આટલા મોટા ફ્રોડ અને મર્ડર કેસમાં સંડોવાયેલો હોવા છતાં તેની ગુનાહિત માનસિકતા ઓછી થઈ નહોતી અને સુરતમાં ફરી ખંડણીના ગુનામાં તે સપડાયો છે. જે આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે- PIPI એન.કે. કામલિયાએ જણાવ્યું હતું કે, જે પણ આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. આ જે આરોપી છે યુસુફ પઠાણ, જેણે અહીં ચપ્પુની અણીએ ક્રેટા ગાડીની ખંડણી કરી હતી, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે તે જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે. આ આરોપી ખૂબ જ રીઢો અને ખુંખાર આરોપી છે; તે અગાઉ પણ યુપીમાં કમલેશ તિવારી નામના એક યુવકની હત્યામાં સામેલ છે અને અરવલ્લી જિલ્લાના લુણાવાડા ખાતે સાયબર ક્રાઇમના 5.5 કરોડના મ્યુલ એકાઉન્ટ ખોલાવવાના ગુનામાં પણ વોન્ટેડ છે. જે બાબતે આગળની તજવીજ ચાલુ છે.સુરત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ, જે પણ માણસ કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. બાકી જે ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે અને શાંતિથી જીવી પણ નહીં શકે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:36 pm

આધુનિક ટેકનોલોજી સાથે પણ છેતરપીંડી !:રાજકોટનાં વોર્ડ 12માં કરોડોનાં ફેઇસ રીડિંગ મશીનમાં મોબાઈલના ફોટાથી ડમી હાજરી પૂરવાનું કૌભાંડ ખુલ્યું, જવાબદારોને સસ્પેન્ડ કરવા કામદાર યુનિયનની માંગ

રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા ઉતરેલા છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની હાજરીમાં પારદર્શિતા લાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે 'ફેસ રીડિંગ મશીન' જેવી અત્યાધુનિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ, ભ્રષ્ટ તત્વોએ આ ટેકનોલોજીમાં પણ છીંડા શોધી કાઢ્યા છે. રાજકોટના વોર્ડ નં. 12 (વાવડી) વિસ્તારમાં સફાઈ કામદારોની ડમી હાજરી પૂરવાનું એક ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે. જેને લઈ કામદાર યુનિયન દ્વારા આ મુદ્દે તટસ્થ તપાસ કરી જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. મોબાઈલના ફોટાથી મશીન થાય છે 'હેક' સામાન્ય રીતે ફેસ રીડિંગ મશીન વ્યક્તિનો જીવંત ચહેરો સ્કેન કરીને હાજરી નોંધતું હોય છે, પરંતુ વાવડી વોર્ડ ઓફિસમાં આ ટેકનોલોજીનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સફાઈ કામદારે રૂબરૂ હાજર રહેવાની જરૂર પણ નથી પડતી. માત્ર અન્ય વ્યક્તિના મોબાઈલ ફોનમાં રહેલા સફાઈ કામદારના ફોટાને મશીન સામે રાખવામાં આવે છે અને મશીન તેને અસલી ચહેરો માનીને હાજરી સ્વીકારી લે છે. આવા કૌભાંડને કારણે અનેક સફાઈ કામદારો ઘરે બેઠા જ સરકારી પગાર મેળવી રહ્યા હોય તેવી આશંકા છે. ભ્રષ્ટાચારની નવી મોડસ ઓપરેન્ડી આ હાજરી કૌભાંડ માત્ર ટેકનોલોજીની ખામી નથી, પરંતુ અધિકારીઓ અને વચેટિયાઓની મિલીભગતનું પરિણામ છે. આ પદ્ધતિથી એવા કામદારોની પણ હાજરી પુરાઈ જાય છે જેઓ ખરેખર ફરજ પર આવતા જ નથી. અને આ રીતે કાગળ ઉપર કામદારોની સંખ્યા બતાવીને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવામાં આવી રહ્યા હોય તેવી શક્યતા છે. આ ઘટનાથી સાબિત થાય છે કે સરકારી નાણાંનો કેવી રીતે ખુલ્લેઆમ દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. કામદાર યુનિયનનો આક્રોશ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર હવે સીમા વટાવી રહ્યો છે. ફેસ રીડિંગ મશીન હોવા છતાં મોબાઈલના ફોટાથી હાજરી પૂરી દેવામાં આવે છે, જે અત્યંત ગંભીર બાબત છે. આ કૌભાંડ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) તેમજ જવાબદાર ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વિના શક્ય નથી. કોન્ટ્રાક્ટ પર કામ કરતા ગરીબ સફાઈ કામદારોનું શોષણ કરીને ભ્રષ્ટાચારીઓ પોતાનું ઘર ભરી રહ્યા છે. કડક કાર્યવાહીની માંગ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી સ્પષ્ટ માંગ છે કે, વોર્ડ નં. 12 ના સેનેટરી ઇન્સ્પેક્ટર અને આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ આવુ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે. સાથે જ ડમી હાજરીના આધારે લેવાયેલા પગારની રકમ વસૂલ કરવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજકોટનાં વોર્ડ 12માં કૌભાંડ બહાર આવતા જ કોર્પોરેશનના અન્ય વોર્ડમાં પણ આ પ્રકારે હાજરી પુરાતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો રાજકોટમાં સફાઈ કામદારોની હાજરીનું જ કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:35 pm

કચ્છની 'સરહદ ડેરી'ની વૈશ્વિક ઉડાન:ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્લાન્ટ અને પશુપાલકોના આર્થિક ઉત્થાનની પ્રેરણાદાયી ગાથા

26 January 2001 ના વિનાશક ભૂકંપ બાદ કચ્છ ફરી બેઠું થશે કે કેમ તેવા સવાલો વચ્ચે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં કચ્છની કાયાપલટ થઈ છે. આજે કચ્છ પ્રવાસન, ખેતી અને સહકારી ક્ષેત્રે દેશનું મોડેલ બન્યું છે. આ વિકાસયાત્રામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, એટલે કે સરહદ ડેરીએ પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સિંહફાળો આપ્યો છે. રૂપિયા 1,200 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર વર્ષ 2009 માં શ્રી વલમજી હુંબલ દ્વારા સ્થાપિત સરહદ ડેરી આજે 900 થી વધુ સહકારી મંડળીઓ અને 80,000 દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલી છે. ડેરી દરરોજ અંદાજે 5.5 Lakh લિટર દૂધ એકત્ર કરે છે, જેમાંથી 4 Lakh લિટર દૂધનું પ્રોસેસિંગ થાય છે. વર્ષ 2024-25 દરમિયાન ડેરીએ 9.09 ટકાના વધારા સાથે ₹1,200 Crore થી વધુનું રેકોર્ડબ્રેક ટર્નઓવર હાંસલ કર્યું છે. ડેરી દ્વારા પશુપાલકોને દરરોજ અંદાજે ₹3 Crore ની ચુકવણી કરવામાં આવે છે, જે કચ્છના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી રહી છે. ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છના 'સફેદ સોના' સમાન ઊંટડીના દૂધના મૂલ્યવર્ધન માટે સરહદ ડેરીએ 16 January 2019 થી દેશનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આરોગ્યપ્રદ ગુણો ધરાવતા આ દૂધનું દૈનિક સંપાદન 4,754 લિટર સુધી પહોંચ્યું છે. વર્ષ 2024-25 માં ઊંટપાલકોને ₹8,72,83,440 નું ચૂકવણું કરવામાં આવ્યું છે, જેનાથી 350 થી વધુ પરિવારો આત્મનિર્ભર બન્યા છે. વિશ્વનો એકમાત્ર 'રાજભોગ' કેમલ મિલ્ક આઈસક્રીમ સમગ્ર ભારતમાં ઊંટડીના દૂધમાંથી 'રાજભોગ' ફ્લેવરનો આઈસક્રીમ બનાવતી સરહદ ડેરી એકમાત્ર સંસ્થા છે. 22 February 2024 ના રોજ વડાપ્રધાન મોદીએ આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. માત્ર 1 વર્ષમાં ડેરીએ 80 થી વધુ વરાયટી લોન્ચ કરી છે. વર્ષ 2024-25 માં 24.52 Lakh લિટર આઈસક્રીમનું ઉત્પાદન કરીને ડેરીએ નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. વૈશ્વિક સ્તરે ડંકો અને એવોર્ડની વણઝાર સરહદ ડેરીની કામગીરીની નોંધ માત્ર ભારત જ નહીં પણ વિશ્વ સ્તરે લેવાઈ છે. દુબઈમાં યોજાયેલા 'ગલ્ફ ફૂડ એક્સ્પો-2025' અને કોચીની ઇન્ટરનેશનલ ડેરી કોન્ફરન્સમાં ઊંટડીના દૂધના ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સંસ્થાને FOKIA Award 2024 અને ગ્રીન વર્કપ્લેસ અવૉર્ડ 2025 જેવા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. સહકારથી સમૃદ્ધિ: બેંકિંગ અને ટેકનોલોજી વડાપ્રધાનના 'સહકારથી સમૃદ્ધિ' મંત્રને સાકાર કરતા સરહદ ડેરીએ 31,067 પશુપાલકોના બેંક ખાતા ખોલાવ્યા છે. પશુપાલકોને RuPay કાર્ડ આપવામાં આવ્યા છે અને 438 મંડળીઓને માઈક્રો ATM ની સુવિધા પૂરી પાડવામાં આવી છે, જેથી છેવાડાનો પશુપાલક આધુનિક બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાઈ શક્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:28 pm

બોમ્બ હોવાના મેસેજ વચ્ચે સુરત રેલ્વે સ્ટેશન નધણિયાતું:બેગ સ્કેનિંગ મશીન ‘શોભાના ગાઠિયા' સમાન, બેગ સ્કેનિંગ બંધ હોવાથી લોકો બેસવા માટે કરી રહ્યાં છે ઉપયોગ

દેશના એરપોર્ટ પર જે રીતે બેગ સ્કેનિંગ કર્યા બાદ જ પ્રવાસીઓને એરપોર્ટની ટર્મિનલ તરફ એન્ટ્રી આપવામાં આવે છે. તેવી જ રીતે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બેગ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી પ્લેટફોર્મ પર આવતા મુસાફરોની બેગ આ અદ્યતન મશીનમાં સ્કેનિંગ થતી હતી, પરંતુ હવે બેગ સ્કેનિંગ મશીન શોભાના ગાઠિયા સમાન બની ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલું આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. મશીન બંધ હોવાથી હવે મુસાફરો આ મશીનનો બેસવા માટે ઉપયોગ કરી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનના સત્તાધીશોની ગંભીર લાપરવાહીવીતેલા કેટલાક મહિનાઓથી ખાનગી સ્કૂલો અને કોર્ટ સહિતની સરકારી કચેરીઓમાં બોમ્બ હોવાના ધમકીભર્યા ઈ-મેલ આવી રહ્યા છે. સપ્તાહ અગાઉ સુરત સહિતની કોર્ટમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાં પોલીસે કામે લાગી હતી. એટલું જ નહીં સવારના સમયે કોર્ટની કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી અને બપોર બાદ અતિ મહત્ત્વની હોય તેવી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આવા સમયે સુરત રેલવે સ્ટેશનના સત્તાધીશોની ગંભીર લાપરવાહી સામે આવી છે. બેગ સ્કેન કરવા માટે કોઈ કર્મચારી ત્યાં હાજર હોતું નથીસુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની બેગની ચકાસણી કરવા માટે બેગ સ્કેનર મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ લાંબા સમયથી આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. હાલમાં બેગ સ્કેનર મશીન બંધ હાલતમાં છે. રોજિંદા હજારો મુસાફરો અવરજવર કરે છે, પરંતુ બેગ સ્કેનિંગ મશીન બંધ હોવાથી હાલ રેલવે સ્ટેશન ભગવાન ભરોસે હોવાનું કહી શકાય. ઘણી વખત બેગ સ્કેનિંગ મશીન કાર્યરત હોય તો બેગ સ્કેન કરવા માટે કોઈ કર્મચારી ત્યાં હાજર હોતું નથી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:24 pm

રેડ નેપ્ડ આઇબિસ પક્ષીનું ઊંચા વૃક્ષ પરથી રેસ્ક્યૂ:પંચમહાલ કલેક્ટર નિવાસસ્થાને વન વિભાગ, વોઈસ ઓફ નેચરે બચાવ્યો જીવ

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કલેક્ટરના નિવાસસ્થાનમાંથી એક દુર્લભ પક્ષીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સ્થાનિક સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી આ પક્ષીનો જીવ બચાવી શકાયો. ગોધરામાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના નિવાસસ્થાન સંકુલમાં આવેલા એક ઊંચા વૃક્ષ પર 'ઇન્ડિયન રેડ નેપ્ડ આઇબિસ' (રાતા ગળાની આઇબિસ) નામનું પક્ષી ફસાઈ ગયું હતું. પક્ષી ઊંચાઈ પર હોવાથી જાતે નીકળવામાં અસમર્થ હતું. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગ, ગોધરા અને વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વૃક્ષની વધુ પડતી ઊંચાઈને કારણે રેસ્ક્યૂ ઓપરેશન પડકારજનક બન્યું હતું. જોકે, બંને ટીમોના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી પક્ષીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યું. પક્ષીને નીચે લાવ્યા બાદ તુરંત જ તેને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:24 pm

108 સેવાની 'ગોલ્ડન અવર'માં સરાહનીય કામગીરી:છેલ્લા એક વર્ષમાં 35 હજારથી વધુ કિસ્સામાં દર્દીઓને સેવા આપી, સૌથી વધુ કેસ માર્ગ અકસ્માત અને સગર્ભા મહિલાઓની સહાયતાના

જ્યારે જીવન અને મરણ વચ્ચે સેકન્ડોની લડાઈ ચાલતી હોય ત્યારે સફેદ અને વાદળી રંગની એમ્બ્યુલન્સનો સાયરન કોઈ દેવદૂતના અવાજ જેવો સંભળાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસેઆ વાતને સાર્થક કરી બતાવી છે. સત્તાવાર જાહેર થયેલા આંકડાઓ મુજબ જિલ્લામાં 108 સેવા દ્વારા વર્ષ દરમિયાન કુલ 35,804 કટોકટીના કેસોમાં ત્વરિત પ્રતિસાદ આપીને હજારો નાગરિકોને હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવ્યા છે. વાહન અકસ્માતના 6,423 કેસમાં સમયસર સારવારગાંધીનગર જિલ્લો હાઈવે અને સ્ટેટ હાઈવેથી ઘેરાયેલો હોવાથી માર્ગ અકસ્માતની ઘટનાઓ પડકારરૂપ હોય છે. ત્યારે સત્તાવાર ડેટા દર્શાવે છે કે વર્ષ દરમિયાન વાહન અકસ્માતના 6,423 કેસોમાં 108 દ્વારા સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, બિન-વાહન અકસ્માતના 4,177 કેસોમાં પણ ટીમ મદદે પહોંચી હતી. નિષ્ણાતોના મતે, અકસ્માત પછીના પ્રથમ એક કલાક એટલે કે 'ગોલ્ડન અવર'માં જો યોગ્ય સારવાર મળે તો બચવાની શક્યતા 80% વધી જાય છે. અને 108ની ટીમે આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. 5,686 મહિલાઓને પ્રસૂતિ સમયે કટોકટીમાં હોસ્પિટલ પહોંચાડીગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ માટે 108 આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ દરમિયાન 5,686 જેટલી મહિલાઓને પ્રસૂતિ સંબંધિત કટોકટીમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. અનેક કિસ્સાઓમાં તો હોસ્પિટલ પહોંચતા પહેલા એમ્બ્યુલન્સની અંદર જ 108ના તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી માતા અને બાળક બંનેના જીવ બચાવવામાં આવ્યા છે. હૃદયરોગ અને શ્વાસ સંબંધી દર્દીઓની પણ સેવાબીજી તરફ બદલાતી જીવનશૈલી વચ્ચે કાર્ડિયાક એરેસ્ટ અને શ્વાસની તકલીફોના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ગાંધીનગરમાં હૃદયરોગ સંબંધી 2,765 અને શ્વાસની તકલીફ ધરાવતા 3,336 દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયા હતા. આ સિવાય પેટમાં દુખાવાના 4,503 કેસ અને તીવ્ર તાવના 1,471 કેસમાં પણ 108ની મદદ લેવામાં આવી હતી. ઇનએક્સેસિબલ સ્થળોએથી 32 જેટલા દર્દીનું રેસ્ક્યૂજ્યારે કેસ વાઈઝ વિગતો પર નજર કરીએ તો ખેંચ 1236 કેસો ઝેરી અસર 664 કેસો, ડાયાબિટીસની સમસ્યાના 654 કેસો,પેરાલિસીસના 423 કેસો,ગંભીર માથાનો દુખાવો 268 કેસ માં પણ 108 દ્ધારા દર્દીઓને સેવા પુરી પાડવામાં આવી છે. જિલ્લામાં ઇનએક્સેસિબલ સ્થળોએથી પણ 32 જેટલા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 108 સામાન્ય નાગરિકનો સૌથી મોટો ભરોસો બનીઆમ ગાંધીનગર જિલ્લામાં 108 સેવા માત્ર દર્દીઓને લઈ જવાનું સાધન નથી, પરંતુ તે અદ્યતન તબીબી સાધનોથી સજ્જ એક ચાલતી-ફરતી હોસ્પિટલ છે. એમ્બ્યુલન્સમાં હાજર ઈમરજન્સી EMT અને પાઈલટ ડ્રાઈવરની ટીમ કોઈપણ પરિસ્થિતિ કે સમયને જોયા વગર ખડેપગે રહે છે. સેવાના મંત્ર સાથે કામ કરતી આ સંસ્થા આજે સામાન્ય નાગરિકનો સૌથી મોટો ભરોસો બની ગઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:17 pm

કરોડોના બિટકોઈન હેરાફેરી કેસમાં EDની કાર્યવાહી:શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત બહુચર્ચિત બીટકોઈન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની ઈડી દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કરોડો રૂપિયાના બીટકોઈન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સંબંધી સંજય કોટડીયાની ધરપકડ કરવામાં આવી છે. બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદે હેરાફેરી મામલાની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડ માંગ કરી હતી. EDની વિશેષ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:15 pm

અજરામર એક્ટિવ અસોર્ટનો 'પ્રોજેક્ટ અર્પણ':ખારાઘોડાના રણમાં અગરિયા પરિવારોને 8મા વર્ષે સહાય

સુરેન્દ્રનગર સ્થિત અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા પાટડી-ખારાઘોડાના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયા પરિવારો માટે સતત આઠમા વર્ષે 'પ્રોજેક્ટ અર્પણ' અંતર્ગત સેવા સેતુ બાંધવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ડો. ગુરુદેવ નિરંજન મુનિજી અને ગુરુદેવ ચેતન મુનિજીની પ્રેરણાથી હાથ ધરવામાં આવ્યો છે. રણના કાળઝાળ ગરમી અને અતિશય ઠંડી જેવી કપરી પરિસ્થિતિઓમાં જીવન ગુજારતા અગરિયા પરિવારો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થયો છે. સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું સુઆયોજિત રીતે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રણના છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવામાં આવી. વિતરણ કરવામાં આવેલી મુખ્ય વસ્તુઓમાં નવા કપડાં, સાડી, સ્વેટર, ટોપી અને ઠંડીથી બચવા માટે બ્લેન્કેટનો સમાવેશ થાય છે. ખાદ્ય સામગ્રીમાં અનાજની કીટ, બિસ્કિટના પેકેટ અને નમકીન જેવી પૌષ્ટિક વસ્તુઓ આપવામાં આવી હતી. બાળકો માટે રમકડાં, શિક્ષણ માટે જરૂરી સ્ટેશનરી કીટ, લંચબોક્સ અને પાણીની બોટલ પણ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પગરખાં (બુટ-ચપ્પલ) જેવી અન્ય જરૂરી ચીજોનું પણ વિતરણ કરાયું હતું.આ અભિયાનમાં લોકોએ પોતાના વપરાયેલા પરંતુ સારી સ્થિતિમાં હોય તેવા કપડાંનું દાન આપીને અગરિયા પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કર્યું. રણના દુર્ગમ માર્ગો પર વાહનોના કાફલા સાથે પહોંચેલી ટીમે જાતે જઈને દરેક પરિવારને વસ્તુઓ પહોંચાડી હતી. રણની વચ્ચે બાળકોનો કિલકિલાટ અને યુવાનોનો ઉત્સાહ જોઈને સમગ્ર વિસ્તાર એક પરિવાર બની ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંસ્થાના સેવાભાવી સભ્યો અને દાતાઓએ ખભેખભા મિલાવીને કામ કર્યું છે. Give a little help a lot ના મંત્ર સાથે શરૂ થયેલું આ કાર્ય આજે એક વટવૃક્ષ બની ગયું છે, જે રણના જરૂરિયાતમંદોને સતત મદદ પૂરી પાડી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:15 pm

AMC ટેક્સ વોર્ડ ઇન્સ્પેક્ટરને નોટિસ અપાશે:શહેરમાં 158 જેટલી બિલ્ડિંગની બી.યુ. પરમિશન બાદ ટેક્સની આકારણી ન કરી, લાખો રૂપિયાનું નુકસાન

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઊંચી-ઊંચી રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દેવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગને બીયુ મળી ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સની આકારણી કરવામાં આવતી નથી, જેથી કોર્પોરેશનને લાખો રૂપિયાના ટેક્સની આવકને નુકસાન થાય છે. શહેરમાં 158 જેટલી બિલ્ડિંગો અને બીજું પરમિશન મળી ગઈ છતાં પણ તેના ટેક્સની આકારણી કરવામાં આવી નથી. જે તે વોર્ડમાં આવી બિલ્ડિંગની આકારણી ન કરનાર વોર્ડ ઇન્સ્પેક્ટરને શો- કોઝ નોટિસ આપવા માટેની સૂચના રેવન્યુ કમિટી ચેરમેન દ્વારા આપવામાં આવી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ તેઓ પોતાની મિલકતની ખરીદી કરે ત્યારે તેની મિલકતની ટેક્સ માટેની આકારણી થઈ છે કે નહીં તેની પણ ચકાસણી કરી લેવી જોઈએ. 158 રહેણાંક-કોમર્શિયલનો ટેક્સ બાકીઃ અનિરુદ્ધસિંહરેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જે પણ મિલકતને બીયુ પરમિશન મળી ગઈ હોય તેના ટેક્સની આકારણી કરવાની હોય છે. મારા ધ્યાન ઉપર આવ્યું હતું કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 158 રહેણાંક-કોમર્શિયલ સ્કીમને બીયુ પરમિશન મળી ગઈ છતાં ટેક્સ અંગેની આકારણી કરવામાં આવી નથી. આ અંગે રેવન્યુ કમિટીમાં ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ અંગે આકારણી ન કરનાર AMCના વોર્ડ ઈન્પેક્ટરોને શો- કોઝ નોટિસ આપવા અધિકારીઓને સૂચના આપી છે. ‘નાગરિકો મિલકત ખરીદતા પહેલાં ટેક્સની તપાસ કરે’વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ નાગરિક પોતાની મિલકત ખરીદતા પૂર્વે ડેવલપરે પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે કે નહીં તેની ગ્રાહકે ખાતરી કરવી જોઈએ. નાગરિકોએ પોતે ન વાપરેલી મિલકતોનો ટેક્સ ન ભરવાનો થાય, જેથી આવી તપાસ કરી લેવી જોઈએ. કારણ કે, બીયુ પરમિશન મળ્યા બાદ આકારણી થાય ત્યાં સુધીનો પ્રોપર્ટી ટેક્સ ડેવલપરે ભરવાનો હોય છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:11 pm

HNGU: 23 કોલેજોના તપાસ રિપોર્ટને BOMની મંજૂરી:હવે શિક્ષણ વિભાગને પણ સોંપાશે, જવાબદાર સામે કાર્યવાહી થશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન 23 કોલેજો સામેની તપાસ સમિતિનો સર્વગ્રાહી રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરવામાં આવ્યો છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) દ્વારા આ અહેવાલને મંજૂરી આપવામાં આવી છે. હવે રિપોર્ટના આધારે જવાબદાર કોલેજો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાશે. HNGU હેઠળ કુલ 764 કોલેજો કાર્યરત છે. યુનિવર્સિટીને વારંવાર શૈક્ષણિક કાર્યમાં અનિયમિતતા, લેક્ચર ન લેવાતા હોવા અને બોગસ કોલેજો ચાલતી હોવા અંગેની ફરિયાદો મળતી રહે છે. તાજેતરમાં મળેલી રજૂઆતોના આધારે 7 ટ્રસ્ટો હેઠળની 23 કોલેજો સામે તપાસના આદેશ અપાયા હતા. આ તપાસ માટે વાઇસ ચાન્સેલર, કોલેજ આચાર્ય, વકીલ અને નિષ્ણાતોનો સમાવેશ કરતી એક સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિએ તમામ કોલેજોની રૂબરૂ મુલાકાત લઈ સત્યતા ચકાસી હતી. કેટલીક કોલેજોએ તપાસમાં પૂરતો સહયોગ આપ્યો ન હતો અને માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, ઉપલબ્ધ માહિતીના આધારે સમિતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીને સોંપ્યો હતો. આ રિપોર્ટ યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં રજૂ કરાયો હતો, જ્યાં તેને મંજૂરી મળી ગઈ છે. નિયમ મુજબ કોલેજો સામે પગલાં લેવા માટે ચોક્કસ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું પડે છે, જેના માટે BOM દ્વારા લીલી ઝંડી મળી છે. કેટલીક કોલેજો અંગે શિક્ષણ વિભાગમાંથી પણ તપાસ માટે રજૂઆતો મળી હતી. આથી, યુનિવર્સિટી આ સર્વગ્રાહી રિપોર્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પણ મોકલી આપશે. યુનિવર્સિટી કક્ષાએથી થતી કાર્યવાહી ઉપરાંત, શિક્ષણ વિભાગ પણ આ કોલેજો સામે સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી ભલામણ રિપોર્ટના આધારે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:08 pm

ચાર દિવસ બાદ શુભમન ગિલ ફરી રાજકોટમાં:આજે સવારે આગમન થતા એરપોર્ટ પર સ્ટાફે કરાવ્યું ફોટોસેશન, ગુરુવારથી શરૂ થતી રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે મેચમાં પંજાબ ટિમ વતી મેચ રમવા ઉતરશે મેદાનમાં

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ વનડે મેચની શ્રેણી પૂર્ણ થતા 5 દિવસ બાદ ભારતીય ટીમના કેપટન શુભમન ગિલ ફરી રાજકોટ આવી પહોંચ્યા છે આજ રોજ વહેલી સવારે રાજકોટ એરપોર્ટ પર ગીલનું આગમન થતા એરપોર્ટ ખાતે એરપોર્ટના કર્મચારીઓએ કેપટન શુભમન ગિલ સાથે ફોટા પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ ભારતીય ટિમ રાજકોટ આવી 3 દિવસ રોકાણ કર્યા બાદ 15 જાન્યુઆરીના રોજ પરત ઇન્દોર ત્રીજી વનડે મેચ રમવા પહોંચી હતી અને હવે ગુરુવારથી રણજી ટ્રોફીની મેચ શરૂ થવા જઈ રહી છે જેમાં સૌરાષ્ટ્ર સામે પંજાબ ટિમ તરફથી રમવા માટે શુભમન ગીલ રાજકોટ પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયાના વન-ડે કેપ્ટન શુભમન ગિલ અને ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ગુરૂવારથી રાજકોટમાં શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની મેચમાં આમને-સામને રમશે. ગુરૂવારથી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પંજાબ અને સૌરાષ્ટ્ર ટીમ વચ્ચે રણજી ટ્રોફીની મેચ શરૂ થઈ રહી છે. જેમાં પંજાબ તરફથી રમવા માટે શુભમન ગીલ રાજકોટ આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કર્યા બાદ ગુરુવારે મેચ રમવા મેદાન પર ઉતરશે. અત્યાર સુધી આ વખતની સીઝનની એક પણ રણજી ટ્રોફી મેચ ગીલ રમ્યો નથી. તેનો પાછલો મુકાબલો ગત સીઝનમાં કર્ણાટક વિરુદ્ધ થયો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજાએ આ સીઝનમાં માત્ર એક મેચ રમી છે જેમાં તે સૌરાષ્ટ્ર વતી મધ્યપ્રદેશ સામે રમ્યો હતો. બન્ને ટીમને પોતાના અનુભવી ખેલાડીઓની જરૂર છે. સૌરાષ્ટ્ર અને પંજાબ બન્નેએ પાછલી પાંચ મેચમાંથી માત્ર એક-એક જીત મેળવી છે અને ગ્રુપ-બીના પોઈન્ટ ટેબલમાં ચોથા અને છઠ્ઠા ક્રમે છે. હાલ કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણી નથી સાથે જ રવિન્દ્ર-ગિલ ટી-20 વર્લ્ડકપ ટીમનો હિસ્સો પણ નથી માટે શુભમન ગીલ અને રવિન્દ્ર જાડેજા રાજકોટમાં રણજી ટ્રોફી મેચ રમતા જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:00 pm

વધુ ફી ઉઘરાવતી થલતેજની ઉદગમ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ:ફી મંજૂર કરાવ્યા વગર વિદ્યાર્થીઓ પાસેથી વસૂલતા અમદાવાદ ઝોન FRCએ ખુલાસો માંગ્યો

અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ ફટકારી છે. બન્ને સ્કૂલે અમદાવાદ ઝોન FRC પાસે ફીની મંજૂરી વગર પ્રિ-પ્રાઈમરીની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી હતી, જેથી વિદ્યાર્થીઓએ અમદાવાદ ઝોન FRC સમક્ષ ફરિયાદ કરી હતી. આ મામલે FRCએ બન્ને સ્કૂલને નોટિસ ફટકારી ફી મંજૂર કરાવ્યા વગર કેમ વસૂલાઈ તે અંગે બંને સ્કૂલે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે. સ્કૂલ FRC પાસે ફી મંજૂરી લીધા બાદ જ વાલી પાસેથી લઈ શકેનિયમ પ્રમાણે જ્યારે પણ કોઈ સ્કૂલ કેમ્પસમાં ધોરણ 1થી 8 સાથે જ પ્રિ-પ્રાયમરી સ્કૂલ ચાલતી હોય તો તેની ફી ઉઘરાવતા પહેલા સ્કૂલ સંચાલકોએ FRCમાં દરખાસ્ત કરવી પડતી હોય છે. જેથી દરખાસના આધારે જેટલી ફી મંજૂર કરવામાં આવે તેટલી જ ફી વાલીઓ પાસેથી લેવામાં આવતી હોય છે, પરંતુ અનેક સ્કૂલો આ નિયમોનો પણ કરી રહી છે. અમદાવાદ ઝોનની FRCએ અનેક વખત રજૂઆત કરવા છતાં ધોરણ 1થી 8 સાથે એક કેમ્પસમાં ચાલતી પ્રિ-પ્રાયમરી સ્કૂલને ફી મંજૂર કરવામાં આવતી નથી. જોકે, અગાઉ પણ કેટલીક સ્કૂલોની આ પ્રકારની ફરિયાદ સામે આવતા પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે શહેરની વધુ બે સ્કૂલોની આ પ્રકારની બેદરકારી સામે આવતા નોટિસ પડકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશેઃ DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, FRC કમિટી અમદાવાદ ઝોન દ્વારા ખાસ કરીને કેમ્પસમાં ચાલતી ફ્રી સ્કૂલો હોય, ભલે તેનું રજીસ્ટ્રેશન ન થયું હોય પરંતુ એક જ કેમ્પસમાં ચાલતી હોય તો તેવી સ્કૂલોને પ્રિ-સ્કૂલની ફી મંજૂર કરાવવી ફરજિયાત છે. પરંતુ ઉદગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. એક જ કેમ્પસમાં ચાલતી હોવાથી કેમ FRC કમિટીમાં ફી મંજૂર કરાવી નથી, તેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે. વાલીઓની ફરિયાદ FRCને મળી હતી, જેથી તેના દ્વારા સ્કૂલો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. અગાઉ આ મુદ્દે અન્ય સ્કૂલોને 5-5 લાખનો દંડ થયો હતોવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જોકે અગાઉ પણ ફ્રી સ્કૂલની ફી મંજૂર કર્યા વગર વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતા ફી રેગ્યુલેટરી કમિટીએ સ્કૂલોને પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ફી મંજૂર કરાવ્યા વગર જ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. FRC એક્ટ 2017 પ્રમાણે એક જ કેમ્પસમાં સ્કૂલ ચાલતી હોય તો તેને ફી મંજૂર કરાવવી ફરજિયાત છે. જો સ્કૂલ એવું કારણ બતાવતી હોય કે અમારું રજીસ્ટ્રેશન થયું નથી, પરંતુ રજીસ્ટ્રેશન ન થયું હોય તો પણ એ મંજૂર કરાવવી ફરજીયાત છે. પ્રિ સ્કૂલની ફી મંજૂર કરાવવા માટેની ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ દરખાસ્ત કરવી પડે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:56 pm

ઈડરમાં પૂર્વ દિવ્યાંગ કમિશનર પ્રો. ભાસ્કર મહેતાનું સન્માન:રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે અમૃત મહોત્સવ ઉજવાયો

ઈડર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના 'ભાસ્કર ભવન' ખાતે પૂર્વ દિવ્યાંગ કમિશનર પ્રોફેસર ભાસ્કર વાય. મહેતાનો સન્માન સમારોહ યોજાયો હતો. વિચાર વાટિકા ગ્રુપ સ્નેહ મિલન અને અપંગ અભ્યુદય મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન પ્રો. મહેતાના અમૃત મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ કુમારી અમિતા ખાંટ દ્વારા પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રજ્ઞાચક્ષુઓ માટે સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અમિતા ખાંટ પ્રથમ, સુરેશ સાવલિયા દ્વિતીય અને રાજેશ રાઠોડ તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. તેમને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. પ્રોફેસર ભાસ્કર મહેતાએ દિવ્યાંગોના ઉત્કર્ષ અને સમાજમાં સન્માનભેર સ્થાન મેળવવા અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અપંગ અભ્યુદય મંડળ અમદાવાદના મંત્રી ગુણવંતભાઈ શાહ અને લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુરના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રજ્ઞાચક્ષુ વિચાર વાટિકા સંચાલન ગ્રુપના અધ્યક્ષ ઉમેશભાઈ પરમારે કર્યું હતું, જ્યારે વિચાર વાટિકા ગ્રુપના સહ-સંચાલક અનિકેતભાઈ પરમારે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંધજન મંડળ સાબરકાંઠાના ઉપપ્રમુખ પૂર્વેશ પંડ્યા, કારોબારી સભ્ય મયુર ચૌધરી, અમિતા ખાંટ અને ખજાનચી ભરતભાઈ પંડ્યાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:39 pm

દમણમાં બિલ્ડિંગના ત્રીજા માળે દીપડો ઘૂસ્યો:ભરબજારે અફરાતફરી મચી, વનવિભાગે દીપડાને પકડવા ઓપરેશન હાથ ધર્યું

દમણમાં સતત બીજા દિવસે દીપડાની લટાર જોવા મળી છે. આજે સવારે દમણના માર્કેટ વિસ્તારમાં એક દીપડો બિલ્ડિંગના ત્રીજા માળના ઘરમાં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગતરોજ પણ દમણના શહેરી વિસ્તારમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ આજે ફરી દીપડો રહેણાંક વિસ્તારમાં દેખાતા તંત્ર એલર્ટ બન્યું છે. દીપડાને પકડવા માટે દમણ વન વિભાગે તાત્કાલિક વલસાડ વન વિભાગની મદદ માંગી હતી. વલસાડથી ચણવઈ વન વિભાગની ટીમ દમણ જવા રવાના થઈ છે. ઘટનાસ્થળે દમણ ફાયર વિભાગ, વન વિભાગ અને દમણ પોલીસની ટીમો પહોંચી ગઈ છે. દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માર્કેટ વિસ્તાર હોવાથી અને દીપડો ઘરમાં ઘૂસી જતાં લોકોમાં ભારે ફફડાટ અને ગભરાટ જોવા મળી રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:38 pm

'ભાજપ-સરકાર મને ગમે તેટલો ત્રાસ આપે, હું આખરી-શ્વાસ સુધી લડીશ':ખંડણી કેસમાં જામીન પણ આપ નેતા 'પાસા'હેઠળ જેલમાં, સુરત લાજપોર જેલના દરવાજે હાઈવોલ્ટેજ ડ્રામા

સુરતની લાજપોર જેલના દરવાજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ખંડણીના કેસમાં જામીન મેળવીને બહાર નીકળેલા આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી હજુ મુક્ત હવામાં 50 કદમ પણ નહોતા ચાલ્યા ત્યાં જ પોલીસે તેમને દબોચી લીધા હતા. જેલમુક્ત થવાની ખુશી ક્ષણભરમાં ચિંતામાં ફેરવાઈ ગઈ જ્યારે પોલીસની ટીમે તેમને પાસાના વોરંટની બજવણી કરી. જેલની બહાર નીકળતા જ ફરીથી પોલીસ જીપમાં બેસવાનો વારો આવતા શ્રવણ જોશીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર મને ગમે તેટલો ત્રાસ આપે, હું આખરી શ્વાસ સુધી લડીશ. શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહીશ્રવણ જોશી જ્યારે પોલીસ જીપમાં બેસી રહ્યા હતા ત્યારે તેઓ સતત પૂછતા રહ્યા હતા કે, કોર્ટે મને જામીન આપી દીધા છે, તો પછી તમે મને કયા ગુનામાં લઈ જઈ રહ્યા છો?. જોકે, પોલીસ અધિકારીઓએ કાયદાકીય મર્યાદામાં રહીને તેમને જણાવ્યું હતું કે, આ પાસા હેઠળની કાર્યવાહી છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જેલની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માત્ર શ્રવણ જોશી જ નહીં, પરંતુ તેમના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ પણ પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ ઓપરેશન એટલું ગુપ્ત હતું કે આરોપીઓને બચવાની કોઈ તક મળી ન હતી. ફેસબુક લાઈવ અને વીડિયો દ્વારા ખંડણીનું નેટવર્ક: ડીસીપીનો ખુલાસોડીસીપી રાજદીપ સિંહ નકુમે આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, શ્રવણ જોશી અને તેની ગેંગનો મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતો. તેઓ લિંબાયત અને ગોડાદરા વિસ્તારની સસ્તા અનાજની દુકાનોને નિશાન બનાવતા હતા. આરોપીઓ દુકાન પર જઈને મોબાઈલથી ફેસબુક લાઈવ અથવા વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દેતા હતા અને વેપારીઓને કાળાબજારીના ખોટા આરોપો લગાવી સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપતા હતા. આ વીડિયોનો ઉપયોગ હથિયાર તરીકે કરીને તેઓ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નાના વેપારીઓને માનસિક ત્રાસ આપીને આર્થિક ઉઘરાણી કરતાંઆરોપીઓ માત્ર ધમકી જ નહોતા આપતા, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી ગરીબ ગ્રાહકોને પણ વેપારીઓ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરતા હતા. તપાસ દરમિયાન શ્રવણ જોશી અને સંપત ચૌધરીના બે વીડિયો પુરાવા તરીકે સામે આવ્યા છે, જેમાં તેઓ વેપારીઓને ડરાવી રહ્યા છે. આ પુરાવાઓને આધારે જ તેમની વિરુદ્ધ બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. પોલીસના મતે, આ ટોળકી દ્વારા અનેક નાના વેપારીઓને માનસિક ત્રાસ આપીને આર્થિક ઉઘરાણી કરવામાં આવતી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તેમનો ભારે ખોફ અને દહેશત ફેલાયેલી હતી. પાસાની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ છે કે આરોપીઓ જેલની બહાર આવીને ફરીથી પુરાવાઓ સાથે છેડછાડ ન કરે અથવા ફરીથી સમાન પ્રકારના ગુનાઓને અંજામ ન આપે.આ આકરી કાર્યવાહીથી ખંડણીખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેલમાંથી છૂટતાની સાથે જ તેમની ફરી ધરપકડ થઈશ્રવણ જોશી વારંવાર પોતાની ધરપકડને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે તેમની પાસે નક્કર વીડિયો પુરાવા અને પીડિત વેપારીઓના નિવેદનો છે. જે રીતે જેલમાંથી છૂટતાની સાથે જ તેમની ફરી ધરપકડ થઈ, તે બતાવે છે કે પોલીસ આ કેસમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી. લાંબો સમય જેલના સળિયા પાછળઆગામી સમયમાં આ કેસમાં વધુ કેટલા વેપારીઓ સામે આવે છે તે જોવું રહ્યું. હાલ તો આમ આદમી પાર્ટીના આ નેતા માટે પાસાના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે અને તેમને લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવવો પડશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:36 pm

હિંમતનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃતિ અપાઈ:ટ્રાફિક નિયમો, પોક્સો અને સાયબર ક્રાઈમ પર માર્ગદર્શન અપાયું

હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય જાગૃતિ અને સુરક્ષા અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કાયદાકીય સમજ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગર પોલીસ સ્ટેશનના શી ટીમના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન. પટેલ અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. શાળાના આચાર્ય એસ.એસ. પટેલે મુખ્ય મહેમાન અને આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી વિદ્યાર્થીઓને તેમનો પરિચય કરાવ્યો હતો. પી.આઈ. જે.એન. પટેલ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં અત્યંત ઉપયોગી એવા વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં મુખ્યત્વે ટ્રાફિકના નિયમોનું પાલન, રોડ સેફ્ટી, બાળકોની સુરક્ષા માટેનો પોક્સો એક્ટ (POCSO Act), ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098, અને સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શાખા ગાઈડલાઈન અને તાજેતરમાં અમલમાં આવેલા નવા ભારતીય પોલીસ કાયદાઓ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વિદ્યાર્થિનીઓને સંબોધતા, તેમણે જીવનમાં સમજી-વિચારીને યોગ્ય નિર્ણયો લેવા અને પોતાની સુરક્ષા અંગે જાગૃત રહેવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં. ૫ ના નગરપાલિકા સદસ્ય શશીભાઈ સોલંકી અને સુનિલભાઈ પ્રજાપતિએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ કાયદાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:35 pm

વડોદરામાં નકલી PSI ઝડપાયો:વૈભવી બંગલામાંથી નકલી આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ અને એરગન મળી આવી, જમીન લે-વેચના ધંધામાં દમ મારી તોડ કરતો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી PSIને વડોદરા SOGએ ઝડપી પાડ્યો છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ખોટી ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. તેની પાસેથી ખોટા પોલીસના આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ તથા વિવિધ સરકારી-ખાનગી કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ અને આવકનાં દાખલા મળી આવ્યા છે. આ સાથે જ પોલીસે તેની પાસેથી એરગન પણ જપ્ત કરી છે. જેને આધારે વડોદરા SOGએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના વૈભવી બંગલામાંથી નકલી આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ અને સિક્કા મળી આવ્યાSOGના પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન અને મળેલી બાતમીના આધારે વડોદરા શહેરના વાસણા-તાંદલજા રોડ પર આવેલા ઝમઝમ ટાવરની પાછળ અલકબીર બંગલા નંબર -3માં રેડ કરવામાં આવી હતી. આ સમયે ઘરનો દરવાજો આરોપીની પત્નીએ ખોલ્યો હતો. પોલીસે આરોપી વિશે પુછતા તે ઘરમાં હોવાની વાત કરી હતી. જેથી પોલીસ તેના ઘરમાં પ્રવેશી હતી અને રેડ દરમિયાન મોબીન ઇકબાલભાઇ સોદાગર (ઉંમર.38) નામનો શખસ મળી આવ્યો હતો. તેના બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા ગાડી તથા બહાર નંબર પ્લેટ વગરની અર્ટીગા ગાડી પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે બંને કારમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને કારમાંથી પોલીસના નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને સિક્કા સહિતનું મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીએ પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે રજૂ કરીને રોડ પર તથા જમીન લે-વેચના ધંધામાં દમ મારીને વ્યવહારોમાં મોટા તોડ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેણે પોતાની ગાડીઓમાં પોલીસનો ખાખી ડ્રેસ લટકાવી રાખ્યો હતો અને પોતાના નામ-ફોટાવાળા ડુપ્લીકેટ પી.એસ.આઈ. આઈકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરીને નકલી પીએસઆઇને ઝડપી પાડ્યો હતો. કબજે કરાયેલ પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ આરોપીએ રાજ્ય સેવક ન હોવા છતાં પોલીસ અધિકારી તરીકેના ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હોવાથી જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. તેણે પીએસઆઇ ની ખોટી ઓળખ આપીને કોની કોની સાથે ઠગાઈ કરી તે પણ બહાર આવશે. એસ.ઓ.જી.ના પીઆઈ એસ ડી રાતડાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે અમે અલકબીર બંગલાના મકાન નંબર -3માં રેડ કરી હતી અને રેડ દરમિયાન આરોપી પાસેથી પોલીસ યુનિફોર્મ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને આધારે અમે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:21 pm

વાપીમાં મનપા દ્વારા ડિમોલિશન:મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા શાકભાજી માર્કેટ ખસેડી, 125 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક અને સ્વચ્છતાની સમસ્યાના નિવારણ માટે વાપી મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર, મુખ્ય બજારના જાહેર રસ્તાઓ પરથી લારી-ગલ્લા, પાથરણા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી 125 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે JCB અને ટ્રેક્ટરની મદદથી હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા અગાઉ ચાર વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં ફેરિયાઓ અને દબાણકર્તાઓએ દબાણ દૂર કર્યા ન હતા, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા આ કાર્યવાહી અનિવાર્ય બની હતી. હવે ફિશ માર્કેટ રોડ અને નાગ્રાબાઈ રોડ સહિત મુખ્ય બજાર વિસ્તારમાં કોઈ પણ ફેરિયો બેસી શકશે નહીં. મનપાની સૂચના મુજબ, તમામ શાકભાજી અને લારી સંચાલકોને ચલા કસ્ટમ ફ્રીઝર રોડ પર આવેલા સરદાર પટેલ શાકભાજી માર્કેટ પાસેની ખુલ્લી જગ્યામાં વ્યવસાય કરવા જણાવાયું છે. આ નિર્ણય 20 જાન્યુઆરી 2026થી કડક અમલમાં રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:20 pm

સ્કૂલે જતા વિદ્યાર્થીની બેગમાં પુસ્તકોના બદલે દારૂની પોટલીઓ!:લોકોએ પોલીસ ચોકીમાં દારૂ જમા કરાવ્યો તો મહિલા બુટલેગર લઇ ગઈ, PIએ કહ્યું- 112માં ફોન કરવો જોઇતો તો

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ગામેગામ દેશી અને વિદેશી દારૂનો વેપલો થતો હોય એવા દૃશ્યો ઘણીવાર સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામથી તો ફિલ્મ રઈશ જેવી ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલે જતા એક વિદ્યાર્થીને ગ્રામજનોએ અટકાવીને બેગ ચેક કરતા બેગમાં પુસ્કોના બદલે દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. આ પોટલીઓ ગ્રામજનોએ પોલીસ ચોકીમાં જમા કરાવી તો બે હોમગાર્ડની હાજરીમાં મહિલા બુટલેગર મુદ્દામાલ લઇ ગઇ હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો ઉપવાસ પર બેઠા છે. આ અંગે PIને પૂછતાં તેમણે 112માં ફોન કરવાની સલાહ આપી હતી. વિદ્યાર્થીની બેગમાં પુસ્તકોના બદલે દારૂની પોટલીઓઆ ઘટના અંગે ગ્રામજનોના આક્ષેપ મુજબ મૂળી તાલુકાના સરા ગામે ખુલ્લેઆમ દારૂના વેચાણને લઇને આજે વહેલી સવારે કેટલાક યુવાનો એકઠા થયા હતા. જેમણે સ્કૂલે જતાં એક વિદ્યાર્થીને અટકાવ્યો હતો અને એની સ્કૂલ બેગની તપાસ કરતાં બેગમાં પુસ્કોના બદલે દારૂની પોટલીઓ હતી. જેથી રોષે ભરાયેલા લોકો દારૂની પોટલીઓ લઇને સરા પોલીસ ચોકીએ પહોંચ્યા હતા. જોકે, પોલીસની હાજરીમાં મહિલા બુટલેગર આ મુદ્દામાલ લઇ ગઇ હતી. 'પોલીસની હાજરીમાં મહિલા બુટલેગર મુદ્દામાલ લઇ ગઇ'સરા ગામના યુવક રાજુ સોલંકીએ જણાવ્યું કે, દારૂ લઇને જતું બાળક નાનું હતું, એના ભવિષ્યની ચિંતાને લઇને એ દેખાય નહીં એમ અમે વીડિયો બનાવ્યો હતો અને બાદમાં અમે મુદ્દામાલ લઇ સરા આઉટ પોલીસ ચોકીએ આવ્યા હતા. અહીં વિજયભાઇ અને ભીમાભાઇ નામના બે હોમગાર્ડ જવાન હાજર હતા, જેમને અમે મુદ્દામાલ સોંપ્યો હતો. થોડી વારમાં રાધા દેવીપુજક નામની મહિલા બુટલેગર પોલીસ ચોકીએ આવી હતી અને મુદ્દામાલ લઇને જતી હતી. 'અમે એક દિવસના ઉપવાસ પર બેઠા છીએ'રાજુ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, રાધાબેન દેવીપુજક અને ગૌરીબેન દેવીપુજક નામની મહિલા બુટલેગર સહિત સરા ગામમાં જેટલા લોકો દારૂનો વેપલો ચલાવે છે એમના ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય એવી માંગ સાથે અમે એક દિવસના ઉપવાસ પર બેઠા છીએ. 'હોમગાર્ડ હાજર હોવા છતાં બુટલેગરોની હિંમત તો જુઓ'ભીમાભાઇ નામના ગ્રામજને જણાવ્યું કે અમારી માંગ છે કે આ બુટલેગરોને ઝડપીને પોલીસ ઝડપી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે, જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે ભુખ હડતાળ કરીશું. અહીં હોમગાર્ડ હાજર હોવા છતાં બુટલેગરોની હિંમત તો જુઓ, કાલે ઉઠીને અમને કે અમારા પરિવારને કંઇ થશે એના માટે જવાબદાર આ બુટલેગરો રહેશે. એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે: PIઆ અંગે મુળી પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.વીહોલનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે, મુળીના સરા ગામમાં એક બાળકની બેગમાં દેશી દારૂની થેલીનો વીડિયો વાયરલ થયો છે, તેની તપાસ હાલમાં ચાલુ છે. તેમણે ઉમેર્યું કે આ કેસમાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. 'આવા કિસ્સામાં 112માં ફોન કરવો જોઇતો તો'મુદ્દામાલ કોઈ મહિલા બુટલેગર લઈ ગઈ હોવાના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે, આવા કિસ્સામાં લોકોએ 112માં કોલ કરી પોલીસનો સંપર્ક કરવો જોઈતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસની દારૂ, જુગાર અને ખાણ ખનીજ માટે ઝીરો ટોલરન્સની નીતિ છે અને આ કેસમાં સંડોવાયેલા એકપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. આ પણ વાંચો: ગુજરાતમાં બિશ્નોઈ ગેંગનું દારૂનું નેટવર્ક, અંકલેશ્વરમાંથી એક કરોડનો મુદ્દામાલ જપ્ત

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:04 pm

અમદાવાદની શાળાના વિદ્યાર્થી પર હુમલા બાદ ટ્રસ્ટી આસપાસ બાઉન્સર ગોઠવાયા:ABVPએ રોકડું પરખાવતા કહ્યું- સોમવારે વિદ્યાર્થી પર હુમલો થયો ત્યારે બાઉન્સરો ક્યાં ગયા હતા?

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલો હુમલો શિક્ષણવર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે AVBP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા શાળા પર પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સમયે શાળાના ટ્રસ્ટી આસપાસ બે બાઉન્સર જોવા મળતા એબીવીપીએ સવાલ કર્યો હતો કે, ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારે આ બાઉન્સરો ક્યાં હતા? શાળાના ટ્રસ્ટીઓએ પોતાની સુરક્ષાના બદલે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખવા જોઈએ. ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતીગઈકાલે (સોમવારે) 11 વાગ્યા આસપાસ ધોરણ 10ના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓ અને અન્ય શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીને માથામાં ભાગે કડુ વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી શાળામાં અને શાળા બહાર વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. જેથી શાળામાં વિદ્યાર્થીની સુરક્ષા જળવાય તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શાળા પર નારાબાજી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ન્યાય આપો ન્યાય આપોના નારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ લગાવ્યા હતા. તેમજ નારા બાજી કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવા માટે ટ્રસ્ટીની ઓફિસ પાસે પહોંચ્યા હતા. જે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા. સ્કૂલ ડમી વિદ્યાર્થીઓથી ચાલતી હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગંભીર આક્ષેપ કર્યો છે. જે દરમિયાન એક શિક્ષક એવું કહ્યું હતું કે, સ્કૂલ ડમી ભલે હોય પરંતુ અમે વિદ્યાર્થીઓને સુરક્ષાની ચિંતા કરીએ છીએ. શિક્ષક આ પ્રકારનું નિવેદન આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આક્રમક થઈ ગયા હતા. જે બાદ ટ્રસ્ટીને આવેદનપત્ર આપી ત્રણ પ્રકારની માંગણી કરી હતી. હુમલાની ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, શાળામાં સીસીટીવી અને વિદ્યાર્થીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે મનોચિકિતની નિમણૂક કરવામાં આવે. જો આ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ટ્રસ્ટી આસપાસ બાઉન્સરો જોવા મળતા ABVPનો સવાલઆવેદનપત્ર સ્વીકારવા માટે જ્યારે ટ્રસ્ટી ઓફિસની બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે બે બોડીગાર્ડ પણ જોવા મળ્યા હતા. આવેદનપત્ર સ્વીકાર્યા બાદ ટ્રસ્ટી પોતાના ઓફિસમાં જતા રહ્યા હતા તે બાદ પણ બોડીગાર્ડ તેમની ઓફિસની બહાર જ પહેરો રાખીને ઉભેલા જોવા મળ્યા હતા. જે બાદ બીજી વખત ટ્રસ્ટી જ્યારે મીડિયા બાઈટ આપવા માટે બહાર નીકળ્યા ત્યારે પણ બોડીગાર્ડ તેમની સાથે આવતા હોવાથી ટ્રસ્ટીએ તેમને રોક્યા હતા. સ્કૂલના ટ્રસ્ટીએ મીડિયાને સામે જોતા જ બોડીગાર્ડને ઈશારો કરી દૂર હટી જવા આદેશ કર્યો હતો. જેને લઇને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે બોડીગાર્ડ પોતાની સુરક્ષા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવા જોઈએ. ABVP કર્ણાવતી મહાનગર સહમંત્રી પ્રિયમ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની બહાર નીકળે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ અને અસામાજિક તત્વો દ્વારા તેને ઢોર મારવામાં આવે છે. તેથી આજે શાળામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે ઘટના બની છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તે પણ અસામાજિક તત્વો છે તેના પર કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. વધુમાં પ્રિયમ ભાટીયાએ જણાવ્યું હતું કે, તેમજ સુરક્ષા વ્યવસ્થાની પણ અહીંયા અછત જોવા મળી રહી છે તેથી તે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માગણી છે. વિદ્યાર્થીઓ ઈન્સ્ટાગ્રામના કારણે ખોટા રવાડે ચડી રહ્યા છે. જેથી મનોવિજ્ઞાનિક કાઉન્સિલરની ભરતી કરવામાં આવે તેવી પણ અમારી માંગણી છે. આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી અમારી માંગણી છે. જો ફરી આ પ્રકારની ઘટના બનશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશે તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. સોમવારે વિદ્યાર્થી પર જ્યારે હુમલો થયો ત્યારે આ બોડીગાર્ડ ક્યાં હતા?- પ્રિયમ ભાટીયાટ્રસ્ટી સાથે બોર્ડીગાર્ડ સાથે જોઈને પ્રિયમ ભાટીયાએ જણાવ્યું હતું કે, આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે સુરક્ષા વ્યવસ્થા દેખાડવા માટે બે બોડીગાર્ડ રાખવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થી પર જ્યારે હુમલો થયો ત્યારે આ બોર્ડીગાર્ડ ક્યાં હતા ? તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો ત્યારે બોર્ડીગાર્ડ ક્યાં જતાં રહ્યા હતા ? બોર્ડીગાર્ડ પોતાની સુરક્ષા માટે નહીં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવા જોઈએ. સ્કૂલ પણ ડમી ચાલે છે. ડમી સ્કૂલમાં વિદ્યાર્થી માત્ર પરીક્ષા આપવા માટે જ આવે છે. જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એક શિક્ષક જ બોલ્યા કે ડમી સ્કૂલ ભલે રહી પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અમે રાખીએ છીએ. વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાય તે માટે જ અમે સુરક્ષાકર્મી રાખ્યા છે- રમેશ અમીનનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રમેશ અમીને જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જેથી અમે જે બે સિક્યુરિટી રાખ્યા છે તે અમે તેમને બોલાવ્યા છે. શાળા દ્વારા હવે વિદ્યાર્થીઓનું કડક ચેકિંગ કરવામાં આવશે. સ્કૂલ છૂટ્યા સમયે શિક્ષકોને બહારના ભાગમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવામાં આવશે. ડમી સ્કૂલના આક્ષેપ ખોટા છે. સ્કૂલ દ્વારા શિષ્ટ સમિતિની રચના પણ કરવામાં આવી છે. જેમાં વાલી, શિક્ષક, આચાર્ય અને વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો મોનિટરિંગ પણ કરવામાં આવે છે. દર અઠવાડિયે અમે મોનિટરિંગ કરીએ છીએ. શાળામાં તમામ સીસીટીવી ચાલુ હાલતમાં છે. સ્કૂલમાં બબાલ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી નેશનલ સ્કૂલ બહાર વિધાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી.સ્કૂલના વિધાર્થીઓએ જ બહારથી અન્ય લોકોને બોલાવ્યા હતા.આ ઘટનામાં એક વિધાર્થીને છરી વાગતા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.મારામારી કરનાર આરોપીઓ પૈકી એક જ આરોપી પુખ્ત વયનો છે જ્યારે બાકીના 8 સગીર વયના છે.પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી લીધી છે. સોમવારે સવારે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 10નો વિધાર્થી પરીક્ષા આપીને મિત્રો સાથે બહાર આવ્યો હતો ત્યારે સ્કૂલના જ ધોરણ 10ના ચાર વિધાર્થીઓ અને અન્ય 5 લોકો બહાર ઊભા હતા.9 લોકોએ સાથે મળીને સ્કૂલના 3 વિધાર્થીઓ સાથે બોલાચાલી કરી હતી.બોલાચાલી ઉગ્ર થતા બહારથી આવેલા વિધાર્થીઓ ખેંચીને ત્રણેય વિદ્યાર્થીઓને આગળ લઈ ગયા હતા. તમામ લોકોએ ભેગા મળીને પટ્ટા,પાઇપ અને છરી વડે ત્રણેય વિધાર્થીઓ પર હુમલો કર્યો હતો.આ ઘટનામાં ત્રણેય વિધાર્થીઓને માથામાં,હાથમાં અને અલગ અલગ જગ્યાએ ઈજાઓ પહોંચી હતી.મારામારી થતાં પોલીસને જાણ થઈ હતી જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.ઇજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે આરોપીઓએ હુમલો કર્યો તે માટે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આવ્યો છે.આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.આરોપી પૈકી એક જ પુખ્ત વયનો છે જ્યારે બાકીના સગીર વયના અને વિધાર્થીઓ છે.વિધાર્થીઓ વચ્ચે 3 મહિના અગાઉ બોલાચાલી થઈ હતી જે બાદ ગઈકાલે મારામારી થઈ હતી.શનિવારે પણ વિધાર્થીઓ વચે સામે જોવા બાબતે બોલાચાલી થઈ હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:01 pm

ગંગાજળીયા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો હટાવ્યા:PM ઈ-બસ સેવાના પ્રારંભ પૂર્વે તંત્ર એક્શનમાં આવી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, રિક્ષાચાલકોને દંડ

શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત કુલ 17 રૂટો પર બસો દોડવાની તૈયારીઓ ચાલી રહી છે તેના ભાગરૂપે આ સેવાના પ્રથમ ચરણમાં જે 6 મુખ્ય રૂટો શરૂ થવાના છે, તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવ વિસ્તારમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આગામી સમયમાં બીજા રુટ પર દબાણો હટાવવામાં આવશે, દબાણ હટાવ સેલના અધિકારી સુરેન્દ્રસિંહ રાણા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસો પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ તેના ભાગરૂપે ​આગામી સમયમાં અંદાજે 40 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, ત્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે, રોડ પર આડેધડ પાર્કિંગ કરીને અડચણ ઊભી કરતી રિક્ષાઓને લોક મારવામાં આવ્યા હતા અને અંદાજિત રૂ. 10,000 જેટલો પેનલ્ટી પેટે દંડ વસૂલવામાં આવ્યો છે. ​અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ પ્રથમ તબક્કાના 6 રૂટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં તમામ 17 રૂટો પરથી નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવશે, દબાણ હટાવવાની ટીમ જ્યાં પણ જશે ત્યાં જો રિક્ષાઓ કે અન્ય વાહનો અડચણરૂપ જણાશે, તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત, કાયમી ધોરણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને પણ આ કામગીરીમાં સામેલ કરવા માટે લેખિત જાણ કરવામાં આવશે,

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:00 pm

ભરૂચમાં મેદસ્વિતામુક્તિ શિબિર-3નો પ્રારંભ:30 દિવસ સુધી ચાર સ્થળોએ યોગ અભ્યાસ

ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતામુક્તિ શિબિર–3નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શિબિર જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માતરીયા તળાવ (શક્તિનાથ), ઝાડેશ્વર શ્રીનાથજી સોસાયટી અને ચાવજ માંગલ્ય રેસીડેન્સી એમ ચાર સ્થળોએ યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના સાનિધ્યમાં તેનું આયોજન થયું છે. આ શિબિર 20 જાન્યુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 સુધી કુલ 30 દિવસ ચાલશે. દરરોજ સવારે 6:30થી 8:00 વાગ્યા સુધી યોજાનારી આ શિબિરમાં મેદસ્વિતાથી પીડિત વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. શિબિરનો મુખ્ય હેતુ યોગાભ્યાસ દ્વારા મેદસ્વિતા ઘટાડવાનો અને શરીરના વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે. શિબિર દરમિયાન ભાગ લેનારાઓના મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત, વિવિધ નિષ્ણાત ડોકટરો અને તજજ્ઞો દ્વારા મેદસ્વિતા નિવારણ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવશે. સર્ટિફાઇડ યોગ ટ્રેનર અને કોચના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને શંખનાદ સાથે શિબિરનો શુભારંભ કરાયો હતો. ચારેય સ્થળોએ મળીને 250 થી વધુ સાધકોએ ઉત્સાહભેર ભાગ લઈ શિબિરની શરૂઆત કરી હતી.આ મેદસ્વિતામુક્તિ શિબિર આગામી 30 દિવસ સુધી નિયમિત રીતે ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:53 pm

જામનગરમાં સિક્સ લેન રોડ માટે સર્વે શરૂ:તંત્રએ ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગનું નિરીક્ષણ કર્યું, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારના ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવા માટે સિક્સ લેન રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજથી જ સક્રિય બન્યું છે અને સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીના નેતૃત્વ હેઠળ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને એસ્ટેટ શાખાના અનવર ગજણ સહિતની ટીમે ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ સિક્સ લેન રોડ બન્યા બાદ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ માર્ગ નિરીક્ષણ બાદ, અધિકારીઓની ટીમે જામનગરમાં ચાલી રહેલા રણમલ તળાવ-2 પ્રોજેક્ટ સ્થળની પણ મુલાકાત લીધી હતી. ત્યાં પણ સમગ્ર કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:47 pm

ગોધરાના શહેરા ભાગોળ માર્ગ ખખડધજ, વેપારીઓમાં રોષ:પાલિકાની નિષ્ક્રિયતા સામે આંદોલનની ચીમકી; પાલિકા પ્રમુખે કહ્યું- 1.28 કરોડના ખર્ચે શહેરના તમામ રોડની કામગીરી પ્રગતિમાં

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં મુખ્ય માર્ગની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી માર્ગ બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની નિષ્ક્રિયતા સામે આંદોલનની ચીમકી આ અંગે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, રૂપિયા એક કરોડ 28 લાખના ખર્ચે શહેરના તમામ નવા રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. હાલ ભાગોળ વિસ્તારમાં રેલ્વે અંડરપાસની કામગીરીને કારણે ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવી નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર, ચોમાસા બાદ શહેરા ભાગોળ વિસ્તારના રસ્તાની સ્થિતિ વધુ વણસી છે. રસ્તા પર મોટા ખાડા, ઉખડેલા પેચ અને છૂટા પડેલા કાંકરા જોવા મળે છે, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે જર્જરિત બન્યો છે. આ માર્ગ ગોધરા શહેરનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. વાહનોની અવરજવર દરમિયાન રસ્તા પરથી ઉડતા કાંકરા સીધા દુકાનોમાં પડે છે, જેનાથી માલસામાનને નુકસાન થાય છે અને ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે. આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતી રહેતા વેપારીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે ગોધરા શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં તાજેતરમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ત્યારે શહેરા ભાગોળ જેવા વ્યસ્ત અને મહત્વપૂર્ણ વિસ્તારમાં આવેલા આ મુખ્ય રસ્તાની અવગણના શા માટે કરવામાં આવી રહી છે તે સમજાતું નથી. વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે. હાલ શહેરા ભાગોળ વિસ્તારના વેપારીઓ તંત્રની તાત્કાલિક કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:40 pm

રાજકોટ મનપાનું સંભવિત અંતિમ બોર્ડ તોફાની બન્યું:વિકાસના કામો અને ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ, BMW બાઈક પર સવાર થઈ કોર્પોરેટર વિરોધ કરવા પહોંચ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીની ટર્મ પૂર્ણ થવાના આરે છે, ત્યારે આજે મળેલી સંભવિત અંતિમ જનરલ બોર્ડની બેઠક અપેક્ષા મુજબ અત્યંત હંગામેદાર અને વિવાદોથી ઘેરાયેલી રહી હતી. 11 માર્ચનાં રોજ વર્તમાન ટર્મ પૂરી થઈ રહી હોવાથી, આ બેઠક પ્રજાના પડતર પ્રશ્નોના નિકાલ માટે મહત્વની માનવામાં આવતી હતી. જોકે, વાસ્તવિકતામાં લોકશાહીના ગૌરવશાળી ગૃહમાં પ્રજાલક્ષી ચર્ચાઓને બદલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. વિપક્ષના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારનાં આરોપો લગાવ્યા હતા. જ્યારે શાસક પક્ષે 5 વર્ષમાં રૂ. 5,000 કરોડનાં વિકાસ કામો કર્યા હોવાનો દાવો કર્યો હતો. આજના જનરલ બોર્ડના એજન્ડામાં કુલ 14 કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવેલા 31 પ્રશ્નોનો સમાવેશ થતો હતો. આ પ્રશ્નોમાં કોંગ્રેસના 3 સભ્યોના 9 પ્રશ્નો અને ભાજપના 11 સભ્યોના 22 પ્રશ્નો પર ચર્ચા થવાની હતી. પરંતુ ગૃહની કાર્યવાહી શરૂ થતા જ શાસક પક્ષના કોર્પોરેટર દક્ષાબેન મસાણીના પ્રથમ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાકીના 30 પ્રશ્નો પર કોઈ પણ પ્રકારની ગંભીર ચર્ચા કર્યા વિના જ બોર્ડ સમેટી લેવાની જાહેરાત કરાતા વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બોર્ડમાં ખાસ વિપક્ષને બોલવાનો મોકો આપવો જોઈએ. પરંતુ આવો મોકો મેયરને ટેલીફોનિક અને લેખિતમાં જાણ કરી હોવા છતાં આપવામાં આવ્યો નથી. બોર્ડની કાર્યવાહી દરમિયાન વાતાવરણ ત્યારે વધુ વણસ્યું જ્યારે ભાજપના કોર્પોરેટર વિનુ ધવાએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ કરી શાંતિ રાખવા કહેતા બોર્ડમાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષી સભ્યોએ ભાજપના શાસકોનાં રાજમાં ટીપી શાખાની શંકાસ્પદ કામગીરી, ફ્લાવર બેડના પ્રોજેક્ટ્સ ઉપરાંત અન્ય વિકાસલક્ષી યોજનાઓમાં થતી અનિયમિતતાઓ મુદ્દે સત્તા પક્ષની આકરી ઝાટકણી કાઢી હતી. વિપક્ષી નેતાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે શાસકો આંકડા રજૂ કરે છે તે માત્ર કાગળ પરની માયાજાળ છે. ભ્રષ્ટાચારના મુદ્દે પ્રહાર કરતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા રૂ. 5000 કરોડ ના વિકાસ કામો થયા હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં રાજકોટની જનતા આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. પાંચ વર્ષમાં માત્ર ભાજપના મળતિયા નેતાઓનો જ આર્થિક વિકાસ થયો છે, જ્યારે શહેર ખાડા અને ભ્રષ્ટાચારમાં ગરકાવ છે. હકીકતમાંજો બિલ્ડરો પાસેથી નિયમ મુજબ FSI વસૂલવામાં આવે તો મનપાને રૂ. 400 કરોડથી વધુ આવક થવાની શક્યતા છે. અને મનપાને 200 કરોડની લોન લેવાની પણ જરૂર પડે તેમ નથી. પરંતુ શાસકો અને બિલ્ડર એસોસિએશન વચ્ચેની મિલીભગતને કારણે મનપાની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સામે પક્ષે પલટવાર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું કે રાજકોટમાં પાંચ વર્ષમાં રૂ. 5000 કરોડથી વધુના રેકોર્ડબ્રેક વિકાસલક્ષી કાર્યો પૂર્ણ થયા છે જે જનતા જોઈ શકે છે. તેમણે વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, વિરોધ પક્ષના નેતાઓ ગંભીર નથી અને આજે પણ તેઓ બોર્ડમાં 20 મિનિટ મોડા આવ્યા હતા. વિપક્ષ પાસે કોઈ મુદ્દા બચ્યા નથી, તેથી તેઓ માત્ર મીડિયામાં હેડલાઇન્સ મેળવવા માટે ડ્રામા કરી રહ્યા છે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મથે છે. આજના બોર્ડ પહેલાનું સૌથી મોટું આકર્ષણ કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી રહ્યા હતા. તેઓ એક અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે રૂ. 15 લાખની કિંમતનું લક્ઝરિયસ BMW બાઈક લઈને મહાપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. આ બાઈકનો નંબર 0002 છે, જેના માટે તેમણે રૂ. 1.85 Lakh નો વધારાનો ખર્ચ કરીને સ્પેશિયલ નંબર મેળવ્યો છે. મકબુલ દાઉદાણીએ ટીપી શાખાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે, તંત્રમાં ગરીબોના કામ થતા નથી, માત્ર માલેતુજારોનું જ હિત જોવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બાઈક ચલાવવી એ તેમનો શોખ છે અને તેઓ રાજકોટમાં સૌથી પહેલું BMW બાઈક લાવ્યા છે. વિપક્ષ દ્વારા મનપાના વહીવટમાં એક પદાધિકારી વચેટિયા તરીકે કામ કરતા હોવાનો અને તાજેતરના 'ફડાકાકાંડ'માં સંડોવાયેલી એજન્સી સામે કોઈ પગલાં નહીં લેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. વશરામ સાગઠિયાએ સવાલ કર્યો હતો કે કયા 'આકા' ના ઈશારે ભ્રષ્ટ એજન્સીઓ બચી રહી છે? આમ, રાજકોટ મહાનગરપાલિકાનું આ છેલ્લું બોર્ડ શહેરના વિકાસની સકારાત્મક ચર્ચા કરવાને બદલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, મોંઘીદાટ ગાડીઓના પ્રદર્શન અને રાજકીય કાવાદાવાની ભેટ ચડયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:35 pm

'મને ગાયના તબેલામાં પૂરી દીધી, એજન્ટે નંબર બ્લોક કર્યો':નવસારીની મહિલા બેલારૂસમાં ફસાઇ, ભાસ્કરને કહ્યું- ગુજરાત પાછા આવવાના પણ પૈસા નથી

વિદેશમાં નોકરીની લાલચ આપીને ગુજરાતીઓ સાથે થતી ઠગાઇનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઇ છે. દિવ્ય ભાસ્કરને આપેલી માહિતીમાં એજન્ટે પોતાની સાથે ફ્રોડ કર્યાનો આરોપ તેણે લગાવ્યો છે. મહિલાનું નામ મીના જોશી છે. તેને બેલારૂસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી અને 70 હજારથી 80 હજાર પગાર મળશે તેવું કહીને મોકલાઇ હતી. તેને જે પ્રકારના કામ અને પગારની લાલચ અપાઇ હતી તે મળ્યાં નથી. હવે તે ભારત પાછી આવવા માગે છે પણ સ્થિતિ એવી છે કે તેની પાસે રિટર્ન ટિકિટના પણ પૈસા નથી. 70 હજારથી 80 હજારના પગારની લાલચ આપીમીનાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, એજન્ટે મને એમ જણાવ્યું હતું કે 8 કલાકના કામના 70થી 80 હજાર રૂપિયા પગાર મળશે. ઓવરટાઇમના મળીને 90 હજાર કે એક લાખ રૂપિયાનો પગાર મળશે. હું વિધવા છું અને દેવુ કરીને અહીં બેલારૂસ આવી છું. મને અહીંયા ગાયના તબેલામાં રહેવા માટે મુકી દીધી છે. મીંક્સ (બેલારૂસની રાજધાની)માંથી મને 350-400 કિલોમીટર દૂર રાખી દીધી છે. ઘણા લોકો અહીંયા ફસાયેલા છે. મહિલાએ વડોદરાના એજન્ટ પર આરોપ લગાવ્યોતેણે જણાવ્યું કે, બેલારૂસ મોકલવા માટે મારી પાસેથી 5.50 લાખ રૂપિયા લીધા હતા. તેમણે મને જે કામ અને પગાર કહ્યા હતા તે મળ્યાં નથી. વડોદરામાં ગજાનંદ ઓવરસીસ નામથી તેમની મેઇન ઓફિસ છે. તેઓ 2 ભાઇઓ એજન્ટ છે. મેં એક અઠવાડિયા જેટલું કામ કર્યું હતું. હું અહીંયા જેમ તેમ રહું છું. પાછા ફરવાના પણ પૈસા નથીતેણે કહ્યું કે, મારી સાથે ફ્રોડ થયું છે. મારી પાસે ભારત આવવાના પૈસા નથી. મારા 3 દીકરા ભારતમાં છે, તેમને હું એકલા મૂકીને આવી છું. મારા પતિ નથી. મારે ભારત પાછું આવવું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:27 pm

લખતર સ્ટેશનનો ₹3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ:અમૃત ભારત યોજના અંતર્ગત મુસાફરોને હવે મળશે એરપોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ ₹3.98 કરોડના ખર્ચે લખતર સ્ટેશનના પુનઃવિકાસનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ આધુનિકીકરણ દ્વારા રેલવેએ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 3,125 ચોરસ ફૂટમાં નવું ભવ્ય સ્ટેશન બિલ્ડિંગ અને 24 ફૂટ પહોળો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. મુસાફરો માટે 1,220 ચોરસ ફૂટમાં આધુનિક AC અને સામાન્ય પ્રતીક્ષાલયો તેમજ એક VIP રૂમ તૈયાર કરાયો છે. પ્લેટફોર્મ પર 12,000 ચોરસ ફૂટનો વિશાળ કવર શેડ અને સ્ટેશનની શોભા વધારતો 1,000 ચોરસ ફૂટનો 'ગ્રીન પેચ' વિકસાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, 11,800 ચોરસ ફૂટનું વિશાળ પાર્કિંગ અને દિવ્યાંગો માટે ટેક્ટાઈલ ટાઈલ્સ તથા રેમ્પની વિશેષ સુવિધા આપવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ સુવિધાઓથી મુસાફરોનો મુસાફરીનો અનુભવ વધુ આનંદદાયક અને સુગમ બનશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:15 pm

બજરંગ દળની જાહેરમાં મારામારી, પોલીસને પણ રવાના કરી દીધી, VIDEO:વિરાટનગરમાં બે યુવકને અહીં કેમ બેઠા છો? કહી ફોન ચેક કરી ફટકાર્યા; રોડ પર બેઠી બસને રોકી, ટ્રાફિકજામ

અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે લધુમતી સમાજના બે યુવક ગેરેજમાંથી બાઈક લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ આ યુવકો છોકરીની રેકી કરતા હોવાની શંકા કરી ગડદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું. તો સામે બન્ને યુવકે પણ કેટલાક કાર્યકરો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ પહોંચતા બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કર્મચારીને ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધા હતા. બનાવ બનતા રસ્તા પર ભારે ટ્રાફિકજામ થયો હતો. નિકોલ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બજરંગ દળના કાર્યકરોએ યુવકને અહીં કેમ બેઠો કહી માર માર્યો ગોમતીપુરમાં રહેતો 23 વર્ષીય આયમઅલી શેખ એમબીબીએસનો અભ્યાસ કરે છે. 19 જાન્યુઆરીના બપોરના સમયે તે એક્ટિવા લઈને તેના મિત્ર નદીમ અંસારી સાથે વિરાટનગર બ્રિજના છેડે આવેલા ગેરેજ ખાતે ગયો હતો. જોકે, ગેરેજ બંધ હોવાથી થોડીવાર રાહ જોઈને તે વિરાટનગર બ્રિજની નીચે બેઠો હતો. આ સમયે બજરંગ દળના સાતથી આઠ કાર્યકરો આવ્યા હતા, જેમણે અહીંયા કેમ બેઠો છે? તેમ જણાવી બંનેના ફોન ચેક કર્યા હતા. બાદમાં બંનેને ગડદાપાટુનો માર માર્યો હતો, જેથી બંને ત્યાંથી ભાગી ગયા હતા અને 112 નંબર પર ફોન કરતા પોલીસની ગાડી પણ આવી હતી. પોલીસે સામે પણ મારામારી કરીબંને જ્યારે પોલીસને જે જગ્યાએ મારામારી થઈ તે બતાવતા હતા, ત્યારે બે-ત્રણ યુવકે તેમને પકડીને ગાળો આપી હતી અને મારામારી કરી હતી. આ અંગે આયમ અલીએ બાબા ગોસ્વામી, જીતુ ચૌહાણ, વિશાલ રાજપૂત, રવિન્દ્ર રાજપુત, સાહિલ ભદોરીયા અને અન્ય ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સામે બજરંગ દળના કાર્યકરોએ પણ ફરિયાદ નોંધાવીઆયમ અલી સાથે જ્યારે મારામારી થઈ હતી, ત્યારે આયમ અલી અને તેના મિત્રએ પણ બજરંગ દળના કાર્યકરોને માર્યા હતા. આ અંગે બજરંગ દળના કાર્યકરોએ આયમ અને તેના મિત્ર વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે. નિકોલ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. પોલીસે કેટલાક આરોપીઓને રાઉન્ડ અપ પણ કરી લીધા છે. બજરંગ દળે રોડ પર બેસી બસ રોકી, પોલીસને રવાના કરી દીધીસમગ્ર બનાવ દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બજરંગ દળના કાર્યકરોએ પોલીસ પણ ગાડીમાં બેસાડી રવાના કરી દીધા હતા. કાર્યકરોએ રસ્તા પર બેસી બસ રોકીને બેસી ગયા હતા. બનાવ બનતા ભારે ટ્રાફિકજામ થયો હતો અને લોકોના ટોળા પણ ભેગા થયા હતા. ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, બનાવ બનતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:12 pm

હિંમતનગરમાં ગોકુલેશ્વર મંદિરનો રજત જયંતી મહોત્સવ:ત્રિદિવસીય 11 કુંડી મહારુદ્ર યાગનો પ્રારંભ થશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિરનો રજત જયંતી મહોત્સવ શરૂ થશે. આ પ્રસંગે ત્રિદિવસીય 11 કુંડી મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે મંદિર પરિસરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કુંડ બનાવવાની અને મંડપ બાંધવાની કામગીરીનો સમાવેશ થાય છે. ધાર્મિક પ્રસંગોની શરૂઆત 20 જાન્યુઆરી, મંગળવારના રોજ બપોર બાદ પ્રાયશ્ચિત કર્મવિધિથી થશે. મુખ્ય ત્રિદિવસીય યાગ 21 જાન્યુઆરી, બુધવારથી શરૂ થશે. 21 જાન્યુઆરી, બુધવારના રોજ સવારે 9 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. ત્યારબાદ સવારે 11:30 કલાકે યજમાનોનો મંડપ પ્રવેશ થશે અને સાંજે 6:30 કલાકે આરતી કરવામાં આવશે. બીજા દિવસે, 22 જાન્યુઆરી, ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન અને 9:30 કલાકે શોભાયાત્રા યોજાશે. બપોરે 12 કલાકે ધજાનો ચઢાવો અને બપોરે 2:30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 6:30 કલાકે આરતી થશે. ત્રીજા અને અંતિમ દિવસે, 23 જાન્યુઆરી, શુક્રવારના રોજ સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન થશે. બપોરે 2:30 કલાકે ઉત્તર પૂજનનો પ્રારંભ થશે અને સાંજે 4 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી કરવામાં આવશે. સાંજે ૫ કલાકે મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે. આ ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 21 જાન્યુઆરી, બુધવારના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટમાં રવિરામ હરિયાણી અને ગીતાબેન પટેલ દ્વારા સંતવાણી રજૂ કરાશે.22 જાન્યુઆરી, ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે હિંમતનગરના પ્રવીણભાઈ પંચાલના નિજાનંદ ગ્રુપ દ્વારા ભજન સંધ્યા યોજાશે. આ ત્રિદિવસીય 11 કુંડી મહારુદ્ર યાગમાં 10 કુંડ પર 20 યજમાનો અને એક મુખ્ય યજમાન સહિત કુલ 21 યજમાનો દ્વારા યાગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:06 pm

પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન

BCCI to Scrap A+ Contract : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એક ક્રાંતિકારી ફેરફાર કરવાની તૈયારીમાં છે. એવા અહેવાલો છે કે બોર્ડ તેના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી 'A+' કેટેગરીને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, જે અત્યાર સુધી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સુપરસ્ટાર ખેલાડીઓ માટે હતી. BCCIમાં મોટા ફેરફારના સંકેત ભારતીય ક્રિકેટમાં આ એક મોટો ફેરફાર હોઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ તાજેતરમાં આવી જ વ્યવસ્થા લાગુ કરી છે, જ્યાં ટોચની કેટેગરીને સમાપ્ત કરી દેવામાં આવી છે.

ગુજરાત સમાચાર 20 Jan 2026 1:06 pm

સાળંગપુર હનુમાનજીને 251 કિલો બુંદી લાડુનો અન્નકૂટ:એમ્બ્રોઇડરી વાઘા, રંગબેરંગી ફૂલોથી દાદાનો દિવ્ય શણગાર કરાયો

સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે દાદાને ભવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને રંગબેરંગી શેવંતી અને ઓર્કિડના મિશ્ર ફૂલોથી મનોહર રીતે શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શ્રીકષ્ટભંજન દેવને ૨૫૧ કિલો બુંદીના લાડુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંગળવારના આ વિશેષ દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭:૦૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. મંદિરના પ્રાંગણમાં પવિત્ર મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં અનેક યજમાનોએ આહુતિ આપી હતી. દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 'જય કષ્ટભંજન' ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ દાદાના શણગાર તેમજ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:52 pm

શિક્ષાપત્રી મંથન:સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું- વ્યક્તિનું જીવન વાણી અને વર્તનમાં સમાન હોવું જોઈએ

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રી મંથન પ્રસંગે જણાવ્યું હતું કે, વ્યક્તિનું જીવન વાણી અને વર્તનમાં સમાન હોવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, વ્યક્તિએ મંદિર હોય ત્યારે રામ અને ધંધામાં રાવણ જેવું જીવન ન જીવવું જોઈએ. તેમણે અવલોકન કર્યું કે આજના સમયમાં ઘણા લોકો બહારથી સારા દેખાય છે, પરંતુ અંદરથી તેમનું વર્તન અલગ હોય છે. મંદિરમાં ભગવાનની ભક્તિ કર્યા પછી, મંદિરની બહાર આવીને તેઓ અયોગ્ય કાર્યો કરતા હોય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્પષ્ટ કર્યું કે આને સાચી ભક્તિ કહી શકાય નહીં. તેમણે ભાર મૂક્યો કે વ્યક્તિના વાણી અને વર્તન સુસંગત હોવા જોઈએ, એટલે કે 'જેવા અંદરથી તેવા બહારથી' હોવા જોઈએ. આ સંદર્ભમાં, તેમણે શિક્ષાપત્રી ગ્રંથનું મહત્વ સમજાવ્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાને ભક્તિમય અને સદાચારમય જીવન જીવવા માટે આ ગ્રંથ આપ્યો છે. તેમણે શ્રોતાઓને શિક્ષાપત્રીનું વાંચન કરીને તે મુજબ જીવન જીવવા અનુરોધ કર્યો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:51 pm

નારાયણ સાંઈની સજા સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં અરજી:હાઇકોર્ટે પીડિતા સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી, 26 ફેબ્રુઆરીએ સુનાવણી

2019માં સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી, જે સુરતની જેલમાં બંધ છે. ત્યારે તેણે પોતાની સજા સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટ એ અરજી સંદર્ભે પીડિતા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 26 ફેબ્રુઆરીએ રાખી છે. અગાઉ આસારામને મળવા જવા નારાયણ સાંઈએ હંગામી જામીન માંગ્યા હતાઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈના પિતા આસારામ પણ દુષ્કર્મના કેસમાં હંગામી જામીન ઉપર બહાર છે. અગાઉ આસારામને મળવા જવા નારાયણ સાંઈએ હંગામી જામીન માંગ્યા હતા. ત્યારે સરકારી વકીલે નારાયણ સાંઈની વર્તણૂક અને તેને છોડવાથી ઉભી થનારી પરિસ્થિતિ અંગે કોર્ટને જાણ કરી હતી. તે 12 વર્ષથી જેલમાં છે. વર્ષ 2021માં અરજદારની માતાની તબિયત ખરાબ થતા તેને 4 દિવસ માટે જેલ મુક્તિ આપવામાં આવી હતી. છેલ્લે તેણે તેના પિતા આસારામને મળવા જવા હંગામી જામીન અપાયા હતા. 'જેલમાં પણ વર્તણૂક અયોગ્ય, બહાર આવશે તો સાહેદોને ખતરો'સરકાર પક્ષે અગાઉ રજૂઆત થઈ ચૂકી છે કે, અરજદારના મોટાપાયે ફોલોઅર્સ છે. અગાઉ તે સાહેદોને ધમકી આપી ચૂક્યો છે, ખોટા સર્ટિફિકેટ બનાવેલા છે. તેમજ સાહેદો ઉપર હુમલો કરાવી ચુક્યો છે. તેણે સરકારી અધિકારીઓને પણ લાંચ આપવાની કોશિશ કરી છે. અરજદારની જેલમાં વર્તણૂક પણ યોગ્ય નથી. જેથી તેને જેલના નિયમો મુજબ અયોગ્ય વર્તણૂક બદલ જેલમાં અપાતી સજા પણ કરવામાં આવી છે. જો તેને જેલ મુક્ત કરવામાં આવે તો અયોગ્ય ઘટના ઘટવાની શક્યતાઓ રહેલી છે. જેથી તેને જેલમુક્ત કરવો યોગ્ય જણાતું નથી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:48 pm

નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો:પાટણ પોલીસે ચંદ્રુમાણામાં જાગૃતિ સેમિનાર યોજ્યો

પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે દુધેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાટણ જિલ્લા SOGના PSI ડી.કે. ચૌધરી અને ASI રણજીતસિંહની ટીમ દ્વારા યોજાયો હતો. સેમિનારમાં નશીલા પદાર્થોના સેવન અને વેચાણના ગંભીર પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. PSI ડી.કે. ચૌધરીએ ઉપસ્થિતોને સમજાવ્યું કે, વનસ્પતિજન્ય તેમજ સિન્થેટિક ડ્રગ્સનું સેવન શારીરિક અને સામાજિક રીતે અત્યંત નુકસાનકારક હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ પ્રકારના ડ્રગ્સનું સેવન જીવલેણ બની શકે છે અને તેનાથી દૂર રહેવું જોઈએ. નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ કરવું એ કાયદાકીય રીતે ગંભીર ગુનો બને છે. આ પ્રસંગે વિહિપના નીતિનભાઈ વ્યાસ, ચંદ્રુમાણા ગ્રામ પંચાયતના તલાટી ભરતભાઈ ઠાકોર, બળવંતસિંહ પરમાર, નવીનભાઈ દરજી, ભાજપના વિરેશભાઈ વ્યાસ, બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજ સહિત ગ્રામજનો અને ગ્રામ્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ PSI ચૌધરી સાથે નશીલા પદાર્થોના સેવન અને વેચાણ બાબતે વાર્તાલાપ પણ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:48 pm

ડાયમંડ બુર્સની ઓફિસો શરૂ કરવા મુહૂર્ત પર મુહૂર્ત:શરૂ થયાના બે વર્ષ બાદ પણ 4700માંથી માત્ર 250 ઓફિસ ખુલ્લી, મહિધરપુરાના વેપારીઓને મનાવવા પ્રયાસો ચાલુ

સુરત શહેરમાં હીરાના વેપાર માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ડાયમંડ બુર્સમાં જવા માટે હીરાના વેપારીઓ બે વર્ષ બાદ પણ તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. ડાયમંડ બુર્સમાં આવેલી 4700 ઓફિસોમાંથી અત્યાર સુધીમાં માત્ર 250 ઓફિસો ભરાઈ છે. અહીં વેપારીઓ પોતાની ઓફિસ શરૂ કરે તે માટે પાંચમી વાર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 18મી ફેબ્રુઆરીએ 68 વેપારીઓએ મુહૂર્ત કરવાની તૈયારી બતાવી છે. મહિધરપુરા સહિતની બજારના વેપારીઓ અહીં આવે તે માટે હર્ષ સંઘવીએ પણ વેપારીઓ સાથે બેઠક કરી પ્રયાસો હાથ ધર્યા છે. 4700 ઓફિસોના જંગી પ્રોજેક્ટની વાસ્તવિકતાઆ પ્રોજેક્ટની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં કુલ 9 હાઈ-ટેક ટાવર્સમાં 4700 જેટલી અત્યાધુનિક ઓફિસો આવેલી છે. અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી આ ઈમારત હીરા ઉદ્યોગના વૈશ્વિક હબ તરીકે નિર્માણ પામી હતી. પરંતુ, કમનસીબ વાસ્તવિકતા એ છે કે બે વર્ષના સમયગાળા બાદ માત્ર 250 જેટલી ઓફિસોના તાળા ખુલ્યા છે. તેમાં પણ નિયમિત વ્યાપાર થતો હોય તેવી ઓફિસોની સંખ્યા તો માંડ 80 જેટલી જ છે, જે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કરે છે. મુહૂર્ત પર મુહૂર્ત: આ વખતે પાંચમી ટ્રાયલકોઈપણ નવો વ્યાપાર શરૂ કરવા માટે મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ સુરત ડાયમંડ બુર્સ માટે તો મુહૂર્તોની હારમાળા સર્જાઈ છે. છેલ્લા બે વર્ષમાં ઓફિસો શરૂ કરવા માટે અલગ-અલગ ચાર તારીખો નક્કી કરવામાં આવી હતી, પરંતુ દર વખતે નિષ્ફળતા મળી છે. હવે, પાંચમી વખત 18 ફેબ્રુઆરી 2026નું નવું મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. અગાઉ 23 જાન્યુઆરીની તારીખ નક્કી થઈ હતી, પરંતુ વેપારીઓના અસંતોષ અને તૈયારીઓના અભાવે ફરી એકવાર તારીખ લંબાવવાની ફરજ પડી છે. હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે બેઠક કરી સમજાવવાનો પ્રયાસ કર્યોજ્યારે વ્યાપારી સંગઠનો નિષ્ફળ રહ્યા ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ જાતે મોરચો સંભાળવો પડ્યો છે. પ્રોજેક્ટની જટિલતાઓને ઉકેલવા માટે તેમણે ગત અઠવાડિયે હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી. 68 જેટલા મોટા વેપારીઓની હાજરીમાં મંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે વિલંબ સહન કરવામાં આવશે નહીં. સરકારના આ સક્રિય અભિગમ પાછળ ડાયમંડ બુર્સને ફ્લોપ શો બનતો અટકાવવાનો મજબૂત રાજકીય અને આર્થિક ઈરાદો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. મહિધરપુરાના વેપારીઓની નવી ખાતરીહર્ષ સંઘવી સાથેની બેઠકમાં મહિધરપુરા હીરા બજારના વેપારીઓએ 18 ફેબ્રુઆરીથી બુર્સમાં શિફ્ટ થવાની ખાતરી આપી છે. આ બેઠકમાં માત્ર નેચરલ ડાયમંડ જ નહીં, પરંતુ વ્હાઈટ પાતળા, સોલિટેર અને લેબગ્રોન ડાયમંડના વેપારીઓએ પણ સહમતિ દર્શાવી છે. વેપારીઓએ મંત્રી સમક્ષ વચન આપ્યું છે કે તેઓ મહિધરપુરાની પોતાની ઓફિસો બંધ કરીને સંપૂર્ણપણે ખજોદ સ્થિત બુર્સમાં કાર્યરત થશે. આ ખાતરી જો અમલમાં મુકાશે તો જ બુર્સમાં સાચા અર્થમાં ધમધમાટ જોવા મળશે અને અંધાધૂંધીનો અંત આવશે. આંતરિક રાજકારણ અને જૂથવાદની અસરબુર્સને કાર્યરત કરવામાં સૌથી મોટો અવરોધ આંતરિક જૂથવાદ હોવાનું મનાય છે. વરાછા મીનીબજાર અને કતારગામના વેપારીઓ સ્થળાંતર કરવા માટે ઉત્સાહી છે, પરંતુ મહિધરપુરા બજાર પર વર્ચસ્વ ધરાવતા પાલનપુર, ડીસા અને ધાનેરાના જૂના વેપારીઓ હજુ પણ ખચકાટ અનુભવી રહ્યા છે. આ વેપારીઓ વર્ષો જૂના પોતાના સ્થાપિત બજારને છોડવા તૈયાર નથી. ચોક્કસ લોબી દ્વારા કરવામાં આવતા આ વિરોધને કારણે જ વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં વેપારીઓ ત્યાં જવા તૈયાર થતા નથી તે કડવી વાસ્તવિકતા છે. જૂના ગઢને બચાવવાની મથામણમહિધરપુરાના વર્ચસ્વવાળા વેપારીઓને મનાવવા માટે હર્ષ સંઘવીએ અરવિંદ અજબાની અને અશેષ દોશી જેવા પ્રભાવશાળી નામોની મદદ લીધી છે. આ વેપારીઓનો તર્ક છે કે વર્ષો જૂનું નેટવર્ક મહિધરપુરામાં સ્થિત છે અને ત્યાંથી ખજોદ જવું જોખમી હોઈ શકે છે. આ માનસિકતાને તોડવી એ મેનેજમેન્ટ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. જ્યાં સુધી મુખ્ય ધારાના વેપારીઓ પોતે પહેલ નહીં કરે ત્યાં સુધી નાના વેપારીઓ અને દલાલો બુર્સ તરફ આકર્ષાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. પાયાની સુવિધાઓના અભાવના કારણે વેપારીઓ ચિંતિતકોઈપણ કોમર્શિયલ હબ માટે બેંકિંગ અને ફૂડ કોર્ટ કરોડરજ્જુ સમાન હોય છે, પરંતુ SDBમાં ઉંધી ગંગા વહી રહી છે. ગ્રાહકો અને ફૂટફોલના અભાવે અગાઉ શરૂ થયેલી ઘણી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની શાખાઓ બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં, અમૂલ પાર્લર અને સુમુલ બ્રાન્ડની રેસ્ટોરન્ટ્સને પણ તાળા મારવાની નોબત આવી છે. સુવિધાઓ જતી રહેવાથી વેપારીઓમાં ડર બેસી ગયો છે કે ત્યાં જઈને ધંધો કેવી રીતે કરવો, જે આ પ્રોજેક્ટ માટે ચિંતાનો વિષય છે. નાના વેપારીઓ અને દલાલોની આશાજો 18 ફેબ્રુઆરીનું મુહૂર્ત સફળ રહે, તો તેનો સૌથી મોટો ફાયદો નાના વેપારીઓ અને હીરા દલાલોને થશે. હર્ષ સંઘવીએ ભારપૂર્વક કહ્યું છે કે એક જ છત નીચે તમામ સુવિધાઓ મળવાથી મધ્યમ વર્ગના વેપારીઓની દોડાદોડી ઓછી થશે. અત્યારે વેપારીઓને મહિધરપુરાથી વરાછા અને કતારગામ વચ્ચે ભટકવું પડે છે, પરંતુ બુર્સમાં બધું એકસાથે ઉપલબ્ધ હશે. આ વ્યવસ્થાથી વિશ્વભરના ખરીદદારો માટે સુરત એક સિંગલ-વિન્ડો સોલ્યુશન બની જશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ અનુકૂળ રહેશે. મહિધરપુરાના વેપારીઓ અહીં આવી જાય તો બુર્સ ધમધમતું થઈ જાયડાયમંડ બુર્સના ચેરમેન લાલજી પટેલએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા જ્યારે આપણે જુલાઈ મહિનાની તારીખ આપેલી, ત્યારે 250 ઓફિસના ફર્નિચર થઈ ગયા હતા અને 250 ઓફિસોના એક સાથે મુહૂર્ત કર્યા હતા. પરંતુ મંદીના માહોલ વચ્ચે એટલી બધી ઓફિસો ધમધમતી થઈ શકી નહોતી. આજની તારીખમાં 70 થી 80 ઓફિસો કાર્યરત છે.અમારો ટાર્ગેટ એ છે કે મહિધરપુરા અને મીની બજારના જે મુખ્ય વેપારીઓ છે, તે જો ત્યાં પોતાનો કારોબાર ચાલુ કરે, તો તેની પાછળ મહિધરપુરા અને મીની બજારમાં નાની-મોટી 1000 ઓફિસો છે. એટલે જો આ 1000 ઓફિસો ટ્રાન્સફર થાય તો આખું ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જાય.એના માટે હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ગયા અઠવાડિયે મીટિંગ મળેલી અને 68 વેપારીઓ પોતે રૂબરૂ હતા. બધાએ ખાતરી આપી છે કે અમે 18 ફેબ્રુઆરી સુધીમાં અમારી ઓફિસ સંપૂર્ણપણે મહિધરપુરાથી ત્યાં (ડાયમંડ બુર્સમાં) અમારો ધંધો-કારોબાર શરૂ કરી દઈશું. એટલે હવે અમને 100% ભરોસો છે કે 18 ફેબ્રુઆરીએ ડાયમંડ બુર્સની અંદર આ મોટા 70 વેપારીઓ આવશે, એટલે એની સાથે મોટા દલાલો, નાના-મોટા કારખાનાદારો - બધા જ આવવા આતુર છે અને 100% અમારી ઓફિસો ધમધમતી થવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ડાયમંડ બુર્સની અંદર 4,000 લોકોએ પોતે ટાઈમ-ટુ-ટાઈમ પેમેન્ટ આપીને ઓફિસો ખરીદી છે, એટલે પોતે પણ ઈચ્છે છે કે અમારો કારોબાર જલ્દી શરૂ થાય. કારણ કે મહિધરપુરા અને મીની બજારમાં સિક્યુરિટીનો પણ પ્રશ્ન છે, પાર્કિંગનો પણ પ્રશ્ન છે અને ત્યાં (બુર્સમાં) દુનિયાનું નંબર-1 ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે તો શા માટે ન જવું? વાત એટલી જ હતી કે થોડા માહોલના હિસાબે લોકો ઢીલા હતા, પણ હવે અમને ખાતરી છે કે 18 ફેબ્રુઆરીએ વેપારીઓ 100% આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:44 pm

એલ.જે. યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીએ દીક્ષાંત સમારોહ:બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાનના હસ્તે 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

અમદાવાદની ખ્યાતનામ એલ.જે. યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ આજે, 20 January 2026ના રોજ સાંજે 06:00 કલાકે સરખેજ કેમ્પસ ખાતે ભવ્ય રીતે યોજાશે. આ પ્રસંગે બિહારના માનનીય રાજ્યપાલ શ્રી અરિફ મહમ્મદ ખાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત સંબોધન કરશે. આ વર્ષે કુલ 4,386 વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે પદવી એનાયત કરવામાં આવશે. જેમાં 1,157 પોસ્ટગ્રેજ્યુએટ, 2,100 ગ્રેજ્યુએટ અને 1,129 ડિપ્લોમા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 48 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ પદક (Gold Medals) એનાયત કરી સન્માનિત કરાશે. આ ઉપરાંત પી.એચ.ડી.ના સંશોધક વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત થશે. યુનિવર્સિટીના અધિકારીઓ, ગૌરવવંતા વાલીઓ અને અધ્યાપકોની ઉપસ્થિતિમાં આ સમારોહ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:32 pm

નવસારીમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલીંગ:દાંડીથી સામાપોર સુધી દરિયાઈ સુરક્ષા તકેદારી માટે તપાસ

નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા તકેદારીના ભાગરૂપે સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલીંગનો મુખ્ય હેતુ આતંકવાદી પ્રવૃત્તિઓ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, તેમજ શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવાનો છે. આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગ અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા (દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ), પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ અને પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. નવસારી સેક્ટરના અધિકારીઓ અને મરીન કમાન્ડોની ટીમે આ કામગીરી કરી હતી. પેટ્રોલીંગ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દરિયાઈ વિસ્તાર દાંડીથી સામાપોર સુધીના કાંઠા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો, બોટો અને અવાવરુ જગ્યાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:31 pm

શિક્ષણ સમિતિનું રૂ.170 કરોડનું બજેટ અંગે ચર્ચા-વિચારણા:ગુરુવારે શિક્ષણ સમિતિના બજેટ અંગે સ્ટેન્ડિંગમાં ચર્ચા બાદ મંજૂરી માટે સાધારણ સભામાં મોકલવામાં આવશે

શાળાઓમાં હવે QR કોડ અને ફેસ રેકગ્નિશનથી પૂરાશે હાજરી, મરણોત્તર સહાયમાં બમણો વધારો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાપરા ખાતે શિક્ષણ સમિતિ ના ચેરમેન નિકુંજભાઈ મહેતા ના અધ્યક્ષસ્થાને ગત તા 8 જાન્યુઆરીના રોજ વર્ષ 2026-27નું 170 કરોડ રૂપિયાનું બજેટ અંગે ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, અને આ બજેટ મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યું હતું અને ગુરુવાર ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં આ બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને મંજૂરી માટે સાધારણ સભામાં મોકલવામાં આવશે, શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 69 શાળાઓ છે જેમાં ગુજરાતી માધ્યમની -66, અંગ્રેજી માધ્યમની-2 અને ઉર્દૂ માધ્યમની -1 શાળાઓનો સમાવેશ થાય છે, આ બજેટમાં વહીવટી સ્ટાફના પગાર-ભથ્થા 5954.08 હજાર, શિક્ષકો અને વિદ્યાસહાયકોના પગાર ભથ્થા 1588915.34 હજાર, ચોથા વર્ગના કર્મચારીઓ પગાર ભથ્થા 32832.98 લાખ, શેક્ષણિક અને શાળાકીય હેતુ 61669 હજાર, કાયમી પ્રોજેકટ 500 હજાર, સમિતિ વહીવટી કાર્યભાર 1957 હજાર, કચેરી વહીવટી ભાર 2280 હજાર, માહિતી અને સંદેશા 1800 હજાર, લોન-એડવાન્સીસ તથા એલ.ટી.સી 1200 હજાર, વિવિધ લક્ષી હેડ 4276 હજાર તથા સમિતિ માટે આઉટસોસીંગ સ્ટાફ ખર્ચ હેડ 4846 હજાર ના ખર્ચાઓ મળી કુલ 1706230.40 લાખ બજેટ માં ચર્ચાઓ કરવામાં આવશે, ભાવનગરના શાશનાધિકારી સમીરભાઈ જાનીએ બજેટ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, આ બજેટમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે, જેમાં ​કુલ બજેટ 1,70,62,30,400 (એકસો સિત્તેર કરોડ બાસઠ લાખ ત્રીસ હજાર ચારસો) રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ચાર શાળાઓને આદર્શ (મોડેલ) શાળા તરીકે વિકસાવવામાં આવશે, ​ભાવનગર પૂર્વ: પ્રભાશંકર પટ્ટણી શાળા નં-66 (અકવાડા) અને ચંદ્રમોલી પ્રાથમિક શાળા નં-67 જ્યારે ​ભાવનગર પશ્ચિમમાં ગિજુભાઈ બધેકા શાળા નં-75 (સિદસર) અને પ્રમુખ સ્વામી મહારાજ શાળા નં-53, વિદ્યાર્થીના આકસ્મિક અવસાનના કિસ્સામાં અપાતી મરણોત્તર સહાય 20,000 થી વધારીને 40,000 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, શાળાઓમાં પ્રથમવાર સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ પૂરા પાડવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓની હાજરી માટે ફેસ રેકગ્નિશન અને QR કોડ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને હવે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં શિક્ષણ સમિતિના બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:27 pm

EDની કાર્યવાહી:પ્રેમ દેવી લૂનિયા અને પાયલ ચોક્સીના નામની બે સ્થાવર મિલકત કામચલાઉ રીતે ટાંચમાં લીધી

EDએ 12મી જાન્યુઆરીના રોજ આરોપીઓ પ્રેમ દેવી લૂનિયા અને પાયલ ચોક્સીના નામે રાખવામાં આવેલી બે સ્થાવર મિલકતો કામચલાઉ રીતે હાલમાં ટાંચમાં લીધી છે. જેની રૂ. 53.50 લાખ (આશરે હાલમાં બજાર કિંમત રૂ. 4.65 કરોડ) છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ 24 મે, 2018ના રોજ મેસર્સ શ્રી ઓમ ફેબ (પ્રોપરાઇટર રણજીત લૂનિયા) અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ સીબીઆઈ દ્વારા 16 ડિસેમ્બર 2019ના રોજ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે મેસર્સ શ્રી ઓમ ફેબ, મેસર્સ શ્રી બાબા ટેક્સટાઇલ અને મેસર્સ શ્રી લક્ષ્મી ફેબ તે રણજીત લૂનિયાની બધી માલિકીની કંપનીઓને રૂ. 9.95 કરોડ (NPAની તારીખ મુજબ વ્યાજ સાથે રૂ.10.932 કરોડ)ની ક્રેડિટ મર્યાદા મંજૂર કરવામાં આવી હતી. બનાવટી મૂલ્યાંકન અહેવાલ રજૂ કરીને બેંક સાથે છેતરપિંડી કરીરણજીત લૂનિયાએ પેનલ વેલ્યુઅર મયુર શાહ, બેંક અધિકારીઓ/અન્ય લોકો સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. ખોટા વ્યવસાયિક રેકોર્ડ આપીને, બનાવટી દસ્તાવેજ બનાવીને લોન મેળવવા માટે ગીરવે મૂકેલી મિલકતોનો બનાવટી મૂલ્યાંકન અહેવાલ રજૂ કરીને બેંક સાથે છેતરપિંડી કરી હતી. લોનનો સોના-ચાંદીની ખરીદી અને ઘર લોનની ચુકવણીમાં કર્યોવધુમાં, લૂનિયાએ ઉક્ત રોકડ-ક્રેડિટ મર્યાદાનો ઉપયોગ વાસ્તવિક હેતુઓ માટે કરવાને બદલે, લોનના નાણાં કોઈપણ વાસ્તવિક વ્યવસાય વિના વિવિધ બેંક ખાતાઓમાં ડાયવર્ટ કર્યા, જે પછી રોકડમાં ઉપાડવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ સોના-ચાંદીની ખરીદી અને ઘર લોનની ચુકવણી વગેરે માટે કરવામાં આવ્યો હતો. 3.67 કરોડની કિંમતી વસ્તુઓ રિકવર કરવામાં આવીઉપરોક્ત FIR અને ચાર્જશીટના આધારે EDની અમદાવાદ ઝોનલ ઓફિસે PMLA, 2002 હેઠળ કેસની તપાસ કરી હતી અને અગાઉ આરોપીઓના પરિસરમાં તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે આશરે રૂ. 3.67 કરોડની કિંમતી વસ્તુઓ રિકવર કરવામાં આવી હતી. પીએમએલએ તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે બે સ્થાવર મિલકતો (એક પ્રયાગ રેસિડેન્સી ખાતે અને એક સિએસ્ટા ડ્વેલિંગ ખાતે) ની હાઉસિંગ લોનની ચુકવણી લોન ખાતાઓમાંથી ભંડોળના રૂટિંગ દ્વારા કરવામાં આવી હતી અને તેથી, 12.01.2026 ના રોજનો વર્તમાન PAO જારી કરવામાં આવ્યો છે. ED દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી મિલકતોની જપ્તી/ટાંચનું વર્તમાન બજાર મૂલ્ય આશરે રૂ. 8.30 કરોડ છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:25 pm

અમદાવાદમાં હર્ષ સંઘવી કરાવશે ધ્વજવંદન:મકરબા પોલીસ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર સુજીત કુમારની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા અને સ્થળ નિરીક્ષણ સંપન્ન

આગામી 26 January, 2026ના રોજ ભારત પોતાનો 77th પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ ગૌરવશાળી સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે 09:00 કલાકે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે મકરબા ગ્રાઉન્ડની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સુરક્ષા, શિસ્ત અને વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં પરેડનું આયોજન, ટ્રાફિક નિયંત્રણ, આમંત્રિત મહેમાનો માટેની બેઠક વ્યવસ્થા અને વિવિધ વિભાગોના આકર્ષક ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર સુજીત કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંપૂર્ણ ગરિમા અને આન-બાન-શાન સાથે થાય તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધવું અનિવાર્ય છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મકરબા ખાતે અત્યારથી જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:18 pm

ધરમપુરના બોપી ગામે અજાણ્યા પુરુષનું કંકાલ મળ્યું:પોલીસે FSLની મદદથી મૃતકની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા

ધરમપુર તાલુકાના બોપી ગામે એક ખેતરના કોતરમાંથી અજાણ્યા પુરુષનું માનવ કંકાલ મળી આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ધરમપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોપી ગામના વડપાડા ફળિયામાં રહેતા ખેડૂત ચંદુભાઈ રાજુભાઈ દળવી (ઉં.વ. 43) 19 જાન્યુઆરી 2026ના રોજ પોતાની આંબાવાડીના ખેતરમાં સફાઈ અને લાકડા શોધવા ગયા હતા. તે દરમિયાન ખેતરની બાજુમાંથી પસાર થતા નાના ઝરણા પાસેના ખાડામાં તેમને આ માનવ કંકાલ નજરે પડ્યું હતું. ચંદુભાઈએ તાત્કાલિક ગામના સરપંચ અને આગેવાનોને આ અંગે જાણ કરી હતી. સરપંચ બાલુભાઈ જીણાભાઈ જાદવે ધરમપુર પોલીસને માહિતી આપતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.કંકાલ પર ગુલાબી રંગનું શર્ટ અને કમરે જીન્સ પેન્ટ જોવા મળ્યા છે. લાંબા સમયથી મૃતદેહ ત્યાં પડ્યો હોવાને કારણે કપડાં કાળાશ પામી ગયા છે અને શરીરના માત્ર હાડકાં જ બચ્યા છે. હાલ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. ખેડૂત ચંદુભાઈએ જણાવ્યું કે નવેમ્બર 2025 દરમિયાન જ્યારે તેઓ લણણી માટે ખેતરમાં આવતા હતા, ત્યારે આ વિસ્તારમાંથી ભારે દુર્ગંધ આવતી હતી. જોકે, નજીકમાં પોલ્ટ્રી ફાર્મ હોવાથી કોઈ મરેલું મરઘું ફેંકાયું હશે એમ સમજી તે સમયે તપાસ કરવામાં આવી નહોતી.ધરમપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી FSLની ટીમની મદદ લીધી છે. મૃતક કોણ છે અને તેનું મોત કેવી રીતે થયું તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:12 pm

કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ પર ઇન્કમટેક્સની રેડ:બિલ્ડર લોબીમાં ફફડાટ, નાણાકીય રેકોર્ડ્સ અને ડોક્યુમેન્ટ્સની સઘન તપાસ

અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે શહેરના અગ્રણી બિલ્ડર ગ્રુપો પર દરોડા પાડતાં બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સને ત્યાં ઇન્કમટેક્સ દ્વારા રેડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સની ઓફિસ અને નિવાસસ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે. ઓફિસ અને રહેઠાણ સહિતના સ્થળોએ રેડકામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલ તથા દીપ ગ્રુપના દિનેશ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિતના ઠેકાણાઓ પર દરોડા છે. કામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિત, દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોના સ્થળોએ પણ દરોડા કરવામાં આવ્યા છે. અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓની તપાસ ચાલુ છે. આ ઓપરેશન શહેરના અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:08 pm

ટાઇલ્સ બનાવવાના પાવડરની આડમાં રાજસ્થાનથી મોરબી દારૂની હેરાફેરી:SG હાઇ-વે પરથી ત્રણની ધરપકડ કરી, દારૂ-ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં લાકડાના ભૂસા અને ટ્રાન્સપોર્ટમાં આવેલા દારૂ બાદ હવે સોલા પોલીસે એસ. જી. હાઇવે પર એક ટ્રકમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીને આધારે તપાસ કરતા એક ટ્રકમાં ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટા નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે 19.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખસની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ દારૂ મોરબી જતો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પાઉડર હોવાનું જણાવ્યું પણ પોલીસને શંકા ગઈસોલા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક ટ્રક વૈષ્ણોદેવી બ્રિજ તરફથી વિદેશી દારૂ ભરીને સરખેજ તરફ જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે સોલાબ્રિજના છેડે વોચ ગોઠવીને ટ્રકમાં તપાસ કરી હતી. જ્યારે ટ્રકને ઊભી રખાવી તે વખતે તેમાં સવાર 3 શખસે પોલીસને જણાવ્યું હતું કે, ટ્રકમાં ટાઇલ્સ બનાવવાનો પાવડર ભરેલો છે અને તેઓ તેને મોરબી લઈ જઈ રહ્યા છે. જોકે, પોલીસને શંકા જતાં બે-ત્રણ કટ્ટા હટાવવામાં આવ્યા, ત્યારે નીચેથી પ્લાસ્ટિકના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 3.97 લાખનો વિદેશી દારૂ,ટ્રક, 3 મોબાઈલ ફોન અને 800 નંગ પાવડરના કટ્ટા સહિત કુલ 19,07,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીપોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર કૈલાશચંદ્ર ધનપાલ કોટેડ, જીવતરામ કાવા ઔતા અને અલ્પેશ બંસીરામ મીણાની ધરપકડ કરી છે. આ ત્રણેયએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના ખેરવાડાના હીરા કલાસવા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે મોરબી ખાતે પહોંચાડવાનો હતો. આ પછી હાલ સોલા પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:02 pm

ઠંડીનું જોર જોવા મળ્યું:ભાવનગરમાં તાપમાનનો પારો 2 ડીગ્રી ગગડતા ઠંડીનું જોર વધ્યું, 8 કિમીએ પવન ફૂંકાયો

ભાવનગરમાં આજે એકાએક તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો 2 ડીગ્રી ગગડી 14.6 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું અને ગત રાત્રીથી જ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો,જે આજે સાવરથી પવનની ઝડપ વધી ને 8 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી હતી, અને વાતાવરણ માં ભેજનું પ્રમાણ 70 ટકા રહેવા પામ્યું હતું, આજે સાવરથી એકાએક ઠંડી નું જોર વધી રહ્યું છે, આજે તાપમાનનો પારો 16.6 થીગગડીને 14.6 ડિગ્રીએ પહોંચ્યો હતો, અને ભેજ નું પ્રમાણ 70 ટકા પહોંચ્યું હતું, આમ, ઉત્તરાયણ બાદ ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ ગઈકાલથી શહેરભરમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો, ગઈકાલે રાત્રે મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 40 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, આમ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, ઘટાડાના કારણે ઠંડીનું જોર વધ્યું હતું, આમ, ગઈકાલે લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી હતું તે આજે 2 ડીગ્રી ઘટી ને 14.6 ડીગ્રી પહોંચ્યા હતો, આથી શિયાળાની સિઝનમાં ગઈકાલે રાત્રી થી જ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો ઠંડીનું જોર જોવા મળી રહ્યું હતું, આજ સાવરથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાયો હતો, ગઈકાલ કરતા આજે એકાએક 2 ડીગ્રીમાં ઘડાડો થતાં ઠંડીનું જોર વધ્યું હતું, બપોર સુધી ઠંડા પવનો નું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું હતું, લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 11:59 am

ભરબજારમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ:સેક્ટર-21 શાકમાર્કેટમાં કેરલા એગમાર્કની દુકાનમાંથી તસ્કરો દોઢ લાખથી વધુની રોકડ ચોરી ફરાર

ગાંધીનગરના સૌથી વ્યસ્ત ગણાતા સેક્ટર-21ના શાકમાર્કેટ વિસ્તારમાં તસ્કરોએ જાણે પોલીસનો ભય રહ્યો ન હોય તેમ ભરબજારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. માર્કેટમાં આવેલ કેરલા એગમાર્ક નામની દુકાનના ડ્રોઅરમાંથી તસ્કરો રૂ. 1.62 લાખની રોકડ ચોરી કરી આસાનીથી પલાયન થઈ જતા બજારની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુકાનનું ડ્રોઅર ખોલતા વકરાના પૈસા ગાયબ હતાંગાંધીનગરના સેક્ટર-21 શાકમાર્કેટમાં હંમેશા લોકોની અવરજવર રહેતી હોય છે, તેમ છતાં તસ્કરોએ આ વિસ્તારમાં હાથફેરો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેરલા એગમાર્ક નામની દુકાન માલિક રીયાઝબાબુ સૈયદ અલ્વી ગત ત્રીજી જાન્યુઆરી પરિવાર સાથે વતન કેરલા ગયા હતા. તેમની ગેરહાજરીમાં દુકાનનો વહીવટ કર્મચારી ચંદ્રકુમાર પરિયાણી સંભાળી રહ્યો હતો. ત્યારે ગત 15મીએ તેણે ઈંડાની ગાડી આવતા નાણાં ચૂકવવા માટે દુકાનનું ડ્રોઅર ખોલ્યું હતું. ત્યારે તેમાં મૂકેલા વકરાના 1,62,000રૂપિયા ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા. ભીડભાડ વાળા વિસ્તારમાં આટલી મોટી રકમની ચોરી અંગે તેણે તુરંત જ માલિક રિયાઝબાબુને આ અંગે ફોન પર જાણ કરી હતી. પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યોબાદમાં આસપાસના લોકો અને કામ કરતા માણસોની પૂછપરછ છતાં કોઈ કડી મળી ન હતી. આખરે રિયાઝબાબુએ 21 પોલીસમથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને બજારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 11:48 am

મહેસાણામાં મોડીરાતે વાહનોમાં આગની બે ઘટના:મેવડ ટોલ ટેક્ષ પાસે કાર બળીને ખાખ તો અંડર પાસમાં સામાન ભરેલો છોટા હાથી ટેમ્પો સળગ્યો

મહેસાણા શહેરમાં ગત રાત્રે કારમાં અને લોડિંગ વહિકલમાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. પ્રથમ ઘટના મોઢેરા અંડરપાસ પાસે બની હતી, જ્યાં GJ-08-AY-0048 નંબરના છોટા હાથીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યારે બીજી ઘટના મેવડ ટોલ ટેક્સ પાસે બની હતી, જેમાં એક અર્ટિગા કાર GJ-27-EC-7659ના બોનેટના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે અર્ટિગા કારમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બંને સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ફર્નિચર અને ગાડી બળીને ખાખપ્રથમ ઘટનામાં ભરતભાઈ મકવાણા નામના વ્યક્તિ પોતાની GJ08AY0086 નંબરના છોટા હાથીમાં અમદાવાદથી ફર્નીચર અને સ્કૂટી ભરીને પાલનપુર જઇ રહ્યા હતા. એ દરમિયાન મહેસાણાના મોઢેરા અંડર પાસમાં જ્યારે આ વાહન પસાર થઈ રહ્યું હતું, એ દરમિયાન અચાનક નીચેથી આગ લાગી હતી. આગ લાગતા ડ્રાઇવર તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ મહેસાણા મનપાના ફાયર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં ફર્નિચર અને ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાની થઈ નથી. પછળની કારના ચાલકે હોર્ન મારથા જાનહાની ટળીબીજી ઘટના મહેસાણાના મેવડ ટોલ નાકા પાસે રાત્રે દોઢ વાગે બની હતી. જ્યાં એક GJ27EC7659 નબરની આર્ટિગા ગાડીમાં આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર બાબતે ગાડીમાં સવાર વિનોદભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું અને મારો મિત્ર અમદાવાદથી ડીસા જઇ રહ્યા હતા. એ દરમિયાન મહેસાણાના મેવડ ટોલ નાકા પાસે થોડો ટ્રાફિક હતો. એ ટ્રાફિકમાંથી બહાર આવ્યા એ દરમિયાન પાછળની ગાડી વાળાએ હોર્ન મારીને અમને જાણ કરી હતી કે, તમારી ગાડીમાંથી ધૂમાડા નીકળે છે. ત્યારબાદ અમે ગાડી સાઈડમાં કરી બોઈનેટ ખોલતા એમાં આગ લાગેલી હતી. ત્યારબાદ 112 પર જાણ કરતા ફાયર પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ આગ કાબુમાં આવી હતી, જોકે આગ લાગવાને કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 11:44 am

વડોદરામાં મેગા ડિમોલિશન:યાકુતપુરા મદાર મહોલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાયા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર

વડોદરા શહેરના યાકુતપુરા મદાર મહોલ્લા ખાતે 50 વર્ષથી રહેતા રહીશોના મકાનો તોડી પાડવા માટે નોટિસો બજાવાઈ હતી. આજે(20 જાન્યુઆરી) આ ડિમોલિશન માટે કલેક્ટર અને અન્ય ટીમો સ્થળ પર પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે પહોંચી છે. મામલાની ગંભીરતા જોતા DCP કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. યાકુતપુરામાં મગરસ્વામી આશ્રમ પાસે આવેલા મદાર મહોલ્લાના રહીશોએ ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપીને વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તાર અતિ સંવેદનશીલ હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 11:35 am

શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ બંધ થશે:દિલ્હી દરવાજાથી એરપોર્ટ જવા હવે શિલાખેલથી રિવરફ્રન્ટ જવું પડશે, જાણો અન્ય વૈકલ્પિક રસ્તાઓ વિશે

અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે શાહીબાગ અંદરબ્રિજ 5 દિવસ માટે બંધ કરવામાં આવશે. ટ્રાફિક વિભાગના જાહેરનામા મુજબ, શાહીબાગ અંડરબ્રિજ ઉપર બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની કામગીરી માટે 23 જાન્યુઆરી રાત્રે 08:00 વાગ્યાથી લઈને 28 જાન્યુઆરી રાત્રે 12:00 વાગ્યા સુધી આ બ્રિજના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો બંધ રહેશે. નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશેનાગરિકોને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. દિલ્હી દરવાજાથી એરપોર્ટ જવા હવે શિલાખેલથી રિવરફ્રન્ટ જવું પડશે. એરપોર્ટ ગાંધીનગર તરફથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઈ શકાશે. તેમજ અસારવા, ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજીબ્રીજનો ઉપયોગ શકાશે. અસારવાથી ગાંધીનગર જવા હવે આર્મી કેન્ટોન્મેન્ટ ફરવું પડશે. અગાઉ પણ અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 11:31 am

આદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયું

કચ્છના આદિપુરમાં આહિર સમાજના દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલની પ્રેરણાથી યોજાયેલા આ પ્રસંગે બ્રહ્મ સમાજની 102 દીકરીઓના કન્યાદાન થયા. કચ્છમાં એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન પ્રથમવાર યોજાયા હતા. આ ઐતિહાસિક અવસરે 102 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર લગ્નના બંધને બંધાયા. આ ઉપરાંત, 168 બટુકોએ યજ્ઞોપવીત ધારણ કરી હતી. શુભ વિવાહની માંગલિક વિધિ આચાર્ય શાસ્ત્રી કપિલ ત્રિવેદી, સહયોગી વિનોદચંદ્ર જે. રાવલ અને દીપકભાઈ રાવલે સંપન્ન કરાવી. પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, જીગ્નેશ દાદા, તેમજ અન્ય વિદ્વાન કથાકારો, સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા. રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક જગતના અનેક મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ સ્થાનિક પરિવારો ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બિહાર પ્રાંતના યજમાન પરિવારો સંતાન વિવાહ પ્રસંગે લગ્નવિધિમાં જોડાયા. લગભગ 25 હજારથી વધુ લોકો આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા. સમૂહ લગ્નોત્સવની વ્યવસ્થા દાતા પરિવાર અને કચ્છ બ્રહ્મ સમાજના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ દ્વારા સંભાળવામાં આવી. આ સફળ આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત રાજ્યમંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. એડવોકેટ અને નોટરી કથાકાર દિનેશચંદ્ર જે. રાવલે માર્ગદર્શન પૂરું પાડ્યું. દાતા પરિવાર વતી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, જખાભાઈ હુંબલ અને બહેન જખુબેન ગગુભાઈ મ્યાત્રા (શ્રી રામ સોલ્ટ) એ સર્વે સહયોગીઓ, યજમાનો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 11:16 am

UPની ગેંગનું સુરતમાં નેટવર્ક, 150થી વધુ બેંકોનાં ATM મળ્યાં:મહિલા કોન્સ્ટેબલ એપ્રોન પહેરી 5 પુરુષના રૂમમાં તબીબી તપાસના નામે પ્રવેશ્યાં; સિગ્નલ આપતાં જ ટીમે દબોચી લીધા

સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી UPની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ કેશવીબેને ગજબની સૂઝબૂઝ બતાવી હતી. જ્યારે પોલીસને બાતમી મળી કે, ATM બદલી લોકોને લૂંટતા આરોપીઓ જીયાવ ગામમાં છુપાયા છે, ત્યારે તેઓ સતર્ક ન થઈ જાય તે માટે કેશવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશપલટો કર્યો હતો. બીમારીની તપાસ કરવાના બહાને તેઓ આરોપીઓના મકાનમાં પ્રવેશ્યા અને ખાતરી કરી કે પાંચ આરોપી અંદર જ છે. જે બાદ તેઓએ ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસકર્મીઓએ આ ટોળકીને દબોચી લીધી હતી. મહિલા કોન્સ્ટેબલની આ નવતર પદ્ધતિને કારણે જ આ ઓપરેશન સફળ રહ્યું અને ગુનેગારોને ગંધ પણ ન આવી. માસૂમ શ્રમજીવીઓને નિશાન બનાવતી 'કાર્ડ સ્વાઈપ' ગેંગઆ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતકી અને ચાલાકીભરી હતી. તેઓ ખાસ કરીને પાંડેસરા અને સચિન GIDC જેવા વિસ્તારોના ATM સેન્ટરો પર વોચ રાખતા હતા. જે ભોળા અને અભણ શ્રમજીવીઓને પૈસા ઉપાડતા ન ફાવતું હોય, તેમને મદદ કરવાના બહાને તેઓ વિશ્વાસમાં લેતા. આ દરમિયાન તેઓ નજર ચૂકવીને પિન નંબર જોઈ લેતા અને અસલી કાર્ડ બદલીને પોતાની પાસેનું નકલી કાર્ડ પધરાવી દેતા હતા. મિનિટોમાં જ ગરીબ મજૂરોની આખી જિંદગીની મૂડી તેમના ખાતામાંથી સાફ થઈ જતી હતી. છેલ્લા 6 મહિનાથી આ ટોળકીએ અનેક લોકોના ખિસ્સા ખાલી કર્યા હતા. 150 એટીએમ કાર્ડ અને રોકડ સાથે આંતરરાજ્ય ગેંગ ઝડપાઈલેડી કોન્સ્ટેબલના સિગ્નલ બાદ પોલીસે ઘેરો બનાવીને 5 આરોપીને દબોચી લીધા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આરોપીઓ પાસેથી 150 જેટલા વિવિધ બેંકોના ATM કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત 57,000ની રોકડ અને 5 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ વતન ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં જ હતા, પરંતુ તે પહેલા જ પોલીસના પાંજરે પુરાઈ ગયા. આ સફળતાથી પાંડેસરા, સચિન અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 જેટલા ગંભીર ગુનાનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે અને કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. યુપીના રીઢા ગુનેગારો અને મુખ્ય સૂત્રધારનો પર્દાફાશઝડપાયેલી આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર 26 વર્ષીય રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ છે, જેની સામે અગાઉ હત્યાના પ્રયાસ અને ગેંગસ્ટર એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની સાથે અનિલ (26 વર્ષ), વિશાલ (25 વર્ષ), રાહુલ (24 વર્ષ) અને વિકાસ (26 વર્ષ) નામના શખ્સો પણ સામેલ હતા, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની છે. આ ટોળકી સુરતના આવાસમાં રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતી હતી. રામપૂજનના નેતૃત્વમાં આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે છેતરપિંડીનું જાળ બિછાવતી હતી. સુરત પોલીસની સમયસૂચકતાએ આ આંતરરાજ્ય ગેંગના મૂળિયા ઉખેડી નાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 11:12 am

પાવી ગરનાળા પાસેથી દારૂની હેરાફેરી ઝડપાઈ:પોલીસે રૂ. 6.71 લાખનો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યો

પાવી જેતપુર પોલીસે પાવી ગરનાળા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે રૂ. 1,71,902/-નો દારૂ અને રૂ. 5,00,000/-ની ગાડી સહિત કુલ રૂ. 6,71,902/-નો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણાના માર્ગદર્શન હેઠળ પાવી જેતપુર પોલીસ સ્ટાફ વનકુટીર ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એક સફેદ રંગની ફોરવ્હીલર ગાડી શંકાસ્પદ રીતે આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડી ચાલકે વાહન રોકવાને બદલે પાવી ગામ તરફ ઝડપથી હંકારી દીધું હતું. પોલીસે ખાનગી વાહન દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. પાવી ગરનાળા પાસે પહોંચતા ગાડી ચાલક વાહન રોડ કિનારે મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી કોઈપણ પાસ-પરમિટ વિના ભારતીય બનાવટના વિદેશી દારૂના પતરાના ટીન, બિયર અને પ્લાસ્ટિકની ક્વાર્ટર બોટલ મળી આવી હતી. કુલ 754 નંગ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 1,71,902/- આંકવામાં આવી છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ. 5,00,000/-ની ગાડી પણ કબજે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 6,71,902/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેના સંપૂર્ણ નામ-સરનામાની તપાસ શરૂ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:55 am

પોરબંદરમાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો:કમલાબાગ પોલીસે બે વાહન સાથે ત્રણ આરોપી ઝડપ્યા

પોરબંદર શહેરમાં કમલાબાગ પોલીસે એક વર્ષથી વધુ સમયથી વણશોધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે મોટરસાયકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત 40,000 રૂપિયા છે. ઝડપાયેલા આરોપીઓમાં કિશન ગોરધનભાઈ સાડમીયા, નવઘણ રામજીભાઈ સાડમીયા અને બહાદુર ગોરધનભાઈ સાડમીયાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા અપાયેલી માહિતી મુજબ, સંયુક્ત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફને જાણ થઈ હતી કે પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલા એસ.એસ.સી. ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ બે મોટરસાયકલ સાથે ઊભા છે. આ માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચી પોલીસે ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કાળા રંગની હીરો કંપનીની એક મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મોટરસાયકલ ચોરી અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11218009250079/2025 મુજબ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો હતો, જે લાંબા સમયથી વણશોધાયેલો હતો. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી મળેલી બીજી એક મોટરસાયકલ અંગે પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરી હતી. જોકે, આરોપીઓ આ મોટરસાયકલ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી, પોલીસે કાળા રંગની સફેદ પટ્ટાવાળી હીરો કંપનીની આ મોટરસાયકલ પણ છળકપટથી અથવા ચોરી દ્વારા મેળવવામાં આવી હોવાની શંકાના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 106 મુજબ શંકાસ્પદ મિલકત તરીકે જપ્ત કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, તેમજ અન્ય ચોરીના બનાવોમાં આ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કમલાબાગ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:50 am

રૂ.1.10 લાખ પગારના લાલચ આપી હતી:પોલેન્ડમાં વર્ક વિઝાના બહાને 9 લોકો સાથે 6.69 લાખ રૂપિયાની ઠગાઈ, 2 સામે ફરિયાદ

પોલેન્ડમાં નોકરી અને વર્ક વિઝાના બહાને 2 આરોપીએ મળીને 9 લોકો સાથે 6.69 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. આ મામલે મહિલાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ પોલેન્ડના વર્સો સિટીમાં પ્લેટિનમ હોસ્પિટલમાં કેરટેકરની નોકરીની લાલચ આપી હતી. પગાર 1.10 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું. વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલા ગ્રીનફિલ્ડ-3માં રહેતા અલ્પાબેન નગીનભાઈ પટેલ (ઉંમર 56) એ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2022માં તેઓ દુબઈમાં 9 મહિના માટે ગાર્મેન્ટમાં નોકરી કરવા ગયા હતા. ત્યાં તેઓ શિલ્પાબેન કૈલાસભાઈ રાજપુત (રહે. વાડી ખેડકર ફળીયા, મરાઠીવાડી, વડોદરા) સાથે સાથે રહેતા અને કામ કરતા હતા. નવેમ્બર 2022માં પરત ફર્યા બાદ તેમની વચ્ચે કોઈ સંપર્ક નહોતો. એપ્રિલ 2025માં શિલ્પાબેન અચાનક અલ્પાબેનના ઘરે આવ્યા અને પોલેન્ડના વર્સો સિટીમાં પ્લેટિનમ હોસ્પિટલમાં કેરટેકરની નોકરીની લાલચ આપી હતી. પગાર 1.10 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું. અલ્પાબેન તેમનો મોબાઈલ નંબર આપ્યો અને શિલ્પાબેનનો નંબર લીધો હતો. તા. 09/04/2025ના રોજ ફરિયાદી શિલ્પાબેનના ઘરે ગયા અને ત્યાંથી સેમ્યુઅલ ક્રિશ્ચન (રહે. 104, આસોપાલવ એપાર્ટમેન્ટ, સોમા તળાવ, ડભોઈ રોડ, કપુરાઇ ચોકડી પાસે)ના ઘરે લઈ ગયા. સેમ્યુઅલે પણ પોલેન્ડમાં કેરટેકરની નોકરી અને 15 દિવસમાં મોકલવાની વાત કરી. વિઝા ફી રૂ. 37,500 જણાવી હતી, જે પંદર દિવસમાં ન મળતા પરત કરી દીધી હતી. તા. 13/07/2025થી સેમ્યુઅલે ફરીથી સંપર્ક કર્યો અને નોકરીની વાત કરી. ફરિયાદીએ 38,500 રૂપિયા સેમ્યુઅલની પત્ની આનંદ સેમ્યુઅલ ક્રિશ્ચનના નામે ટ્રાન્સફર કર્યા હતા. તા. 06/09/2025ની ટિકિટ અને 2 મહિનાના વિઝિટર વિઝા આપ્યા હતા, પરંતુ વર્ક પરમિટ વિઝા આપ્યા નહોતા. મહિલાએ પૈસા પરત માગતા પૈસા પરત કર્યા નહોતા અને ખોટા વાયદા કર્યા હતા. ત્યારબાદ મહિલાને ખબર પડી કે, આરોપીઓએ અન્ય લોકો સાથે પણ આવી જ છેતરપીંડી કરી છે. કોની સાથે કેટલી ઠગાઈ કરી 1. શીતલબેન હરીભાઈ રાજપુત (રહે. 199 ગાયત્રીનગર, ગુરુકુલ વિદ્યાલય પાસે, હરણી, વડોદરા) – રૂ. 87,560/- 2. ક્રુપાંશી મનુભાઈ વાઘેલા (રહે. પન્નાલાલની ચાલ, છાણી રોડ, વડોદરા) – રૂ. 1,23,000/- 3. રાકેશભાઈ ગણેશભાઈ પટેલ (રહે. C/403, સોનલ હાઈલેન્ડ, નારાયણ ગાર્ડન રોડ, ગોત્રી, વડોદરા) – રૂ. 1,30,000/- 4. દક્ષાબેન ભયજીભાઈ પરમાર (રહે. B/12, VMC કોલોની, અમીન પાર્ટી પ્લોટ પાસે, ગોત્રી, વડોદરા) – રૂ. 38,000/- (રૂ. 5,000/- પરત મળ્યા) 5. વિભુતીબેન ત્રીભોવનભાઈ મકવાણા (રહે. 203 ઓમકારા હાઈટ્સ, રેડ પેટલ રોડ, સેવાસી કેનાલ, વડોદરા) – રૂ. 51,000/- (રૂ. 10,000/- પરત મળ્યા) 6. જયાબેન સંજયભાઈ બિહારી (રહે. B/2 મારુતિનંદન સોસાયટી, પાણીની ટાંકી પાસે, અટલાદરા, વડોદરા) – રૂ. 71,000/- 7. દામીનીબેન મહેન્દરભાઈ ગુરુમ (રહે. 17/477 મંગલદીપ ફ્લેટ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોરવા, વડોદરા) – રૂ. 95,000/- 8. ક્રુષ્ણાકુમાર અલ્પેશભાઈ ત્રીવેદી (રહે. D/102 સહજાનંદ રેસિડેન્સી, ચંદ્રમોલેશ્વરનગર પાસે, ગોત્રી, વડોદરા)ની માતા કાજલબેન – રૂ. 35,000/- (રૂ. 5,000/- પરત મળ્યા) આરોપીઓએ 9 લોકો સાથે 6,69,060 રૂપિયાની છેતરપીંડી કરી છે. આ મામલે શિલ્પાબેન રાજપુત અને સેમ્યુઅલ ક્રિશ્ચન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:45 am

ધારપુર હોસ્પિટલમાં બ્લેક ફંગસના દર્દીની સફળ સર્જરી:60 વર્ષીય વૃદ્ધને ચહેરા પર ચીરા વગર નવજીવન મળ્યું

પાટણની ધારપુર GMERS હોસ્પિટલમાં 60 વર્ષીય મ્યુકોરમાયકોસીસ (બ્લેક ફંગસ)ના દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે. નિષ્ણાત તબીબોની ટીમે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને દર્દીને નવજીવન બક્ષ્યું છે. 14 દિવસની સઘન સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાટણ જિલ્લાના હાંસાપુરના 60 વર્ષીય શ્રવજીભાઈ પુનાભાઈ ઠાકોરને બ્લેક ફંગસના ગંભીર લક્ષણો જેવા કે નાક અને ચહેરા પર સોજો, પરુ, આંખે ઝાંખપ અને તાવ સાથે 17 ડિસેમ્બર, 2025ના રોજ ધારપુરની GMERS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની ગંભીર સ્થિતિને જોતા, સૌપ્રથમ ડાયાબિટીસ નિયંત્રણમાં લેવામાં આવ્યું. MRI રિપોર્ટના આધારે, નિષ્ણાત તબીબો દ્વારા આધુનિક દૂરબીન અને કોબલેશન મશીન વડે ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો. આ સર્જરીમાં ચહેરાના બહારના ભાગે કોઈ ચીરા કે ટાંકા લીધા વગર નાકના સાઇનસ અને આંખની આસપાસ ફેલાયેલી ફૂગ અને રસીને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. ડીન ડૉ. હાર્દિક શાહના માર્ગદર્શન હેઠળ ENT વિભાગના નિષ્ણાત તબીબ ડૉ. ભગીરથસિંહ પરમાર અને ડૉ. ચિરાગ સોલંકીની ટીમે આ જટિલ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઉપરાંત, એનેસ્થેસિયા અને મેડિસિન વિભાગના તબીબોએ પણ દર્દીની સઘન દેખરેખ રાખી હતી. ઓપરેશન બાદ દર્દીને Liposomal Amphotericin-B નામના અત્યંત મોંઘા અને જરૂરી ઇન્જેક્શનનો 14 દિવસનો કોર્સ આપી સઘન સારવાર આપવામાં આવી. તબીબી અધિક્ષક ડૉ. પારુલ શર્મા દ્વારા સારવાર માટે જરૂરી ઇન્જેક્શન અને અન્ય તબીબી સાધનસામગ્રી તાત્કાલિક ઉપલબ્ધ કરાવી સહયોગ આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:44 am

વોંકળામાંથી પિતા-પુત્રની લાશ મળી આવી:પડધરીના ખોખરી ગામે 3 દિવસથી ગુમ ખેતમજુર અને પુત્રની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે વોંકળામાંથી પિતા પુત્રની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ગત 16 તારીખના રોજ ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શખ્સને દારૂ પીધા બાદ પત્ની સાથે બોલાચાલી થઇ હતી બાદમાં પિતા પુત્ર ગુમ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે કુવામાંથી બન્નેના મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક વોંકળામાં નાહવા પડ્યો હોય જેને બચાવવા જતા બન્ને ડૂબી જવાથી મોત નિપજ્યાનું સામે આવ્યું છે પરંતુ આ બનાવમાં પિતા પુત્ર સાથે વોંકળામાં ઝંપલાવ્યું હતું કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ફોરેન્સિક પી રિપોર્ટ બાદ ચોક્કસ કારણ સામે આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે વોંકળામાં ડૂબી જવાથી પિતા પુત્રના મોત નિપજ્યા છે. ખોખરી ગામે અનિરુદ્ધસિંહ જાડેજાની વાડીમાં મધ્યપ્રદેશનો ડાવર પરિવાર ખેતમજૂરી કામ કરતો હતો જેમાં રાજેશભાઈ જુવાનસીંગ ડાવર (ઉ.વ.27), પત્ની રેણુકા ડાવર અને પુત્ર અરુણ રાજેશભાઈ ડાવર (ઉ.વ.6)નો સમાવેશ થાય છે. ગત તારીખ 16 જાન્યુઆરીના રોજ પતિ રાજેશ દારૂ પીધેલી હાલતમાં પત્ની સાથે બોલાચાલી કરતો હતો અને બાદમાં ઘરેથી નિકળી ગયો હતો જે અંગે પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે રાજેશ અને પુત્ર અરુણની લાશ ખોખરી ગામે વોંકળામાંથી મળી આવતા બન્નેના મૃતદેહને કોહવાયેલી હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે બન્નેના મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક વોંકળામાં નાહવા પડ્યો હોય જેને બચાવવા જતા પિતા રાજેશએ પણ વોંકળામાં ઝંપલાવ્યું હોવાં કહેવામાં આવી રહ્યું છે જેમાં ડૂબી જવાથી બન્ને પિતા-પુત્રના મોત નિપજ્યાનું સામે આવ્યું છે જો કે આ બનાવમાં પિતા પુત્ર સાથે વોંકળામાં ઝંપલાવ્યું હતું કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:43 am

ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની આગાહી:અઠવાડિયામાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના; ઉત્તર ભારતનું હવામાન બદલશે તો વરસાદ-હિમવર્ષા થશે

ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર પલટો લેવાની તૈયારીમાં છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 20 જાન્યુઆરી સુધી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી અને ઘન ધુમ્મસ યથાવત્ રહેશે. ત્યારબાદ પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પડી શકે હવામાન વિભાગે માહિતી આપી છે કે, આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. જોકે, હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા હાલ દેખાતી નથી. સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધારેરાજ્યના વિવિધ વિસ્તારોના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો-ઘટાડો નોંધાયો છે. આજે નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને અમરેલીમાં પણ વધુ ઠંડી નોંધાઈ છે. હાલમાં રાજ્યમાં ઠંડી યથાવત્ છે અને આગામી દિવસોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જો વાદળછાયું વાતાવરણ થશે તો રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:41 am

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પાંચ દિવસીય વર્કશોપ શરૂ:વિજ્ઞાન વિદ્યાશાખા દ્વારા મટીરીયલ કેરેક્ટરાઇઝેશન ટેકનીક્સ પર આયોજન

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે વિજ્ઞાન વિદ્યાશાખા દ્વારા પાંચ દિવસીય નેશનલ વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ ક્રાફ્ટિંગ નોલેજ: વર્કશોપ ઓન મટીરીયલ કેરેક્ટરાઇઝેશન ટેકનીકસ વિષય પર 19 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. તેનું આયોજન રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર વિભાગ તથા કે.સી.જી. અંડર પ્રમોશન ઓફ રિસર્ચ ફેસીલીટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે થયું છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ આ વર્કશોપનું ઉદ્ઘાટન થયું. ઉદ્ઘાટન સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોશી કી નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રજીસ્ટ્રાર ડૉ. અનિલભાઈ સોલંકી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, વડોદરાના ડીન પ્રો. કે. એલ. અમેટા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા પ્રો. આઈ. બી. પટેલ પણ હાજર રહ્યા હતા. વર્કશોપના આરંભમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મોનિકભાઈ જાનીએ વક્તાઓનો પરિચય આપી વર્કશોપના ઉદ્દેશ્ય અને અપેક્ષિત પરિણામો વિશે માહિતી આપી હતી. અધ્યક્ષીય સંબોધનમાં કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન કરવા, વિવિધ ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરી સંશોધનને પ્રભાવશાળી બનાવવા તથા પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કી નોટ સ્પીકર પ્રો. ઉત્પલભાઈ જોશીએ સંશોધનાર્થીઓને એડવાન્સ ટેકનોલોજી અને AI જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત અને અદ્યતન સંશોધન કેવી રીતે કરી શકાય તે વિશે માહિતગાર કર્યા હતા. ઉદ્ઘાટન સત્રનું સંચાલન ડૉ. હેમંતભાઈ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ. જીગ્નેશ રાવલે કરી હતી. આ વર્કશોપમાં કુલ 60 સંશોધનાર્થીઓ પાંચ દિવસ સુધી ભાગ લેશે. વર્કશોપના પ્રથમ દિવસે પ્રો. ડૉ. કે. એલ. અમેટા અને પ્રો. ડૉ. આઈ. બી. પટેલ દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:39 am

બંને તરફનો ટ્રાફિક એક માર્ગે પર ચાલશે:ગોરવા પંચવટી કેનાલથી ઝુબી સર્કલ સુધીનો રસ્તો એક તરફથી બંધ રહેશે, ડ્રેનેજ અને નવા રોડની કામગીરી શરૂ થતાં નિર્ણય

વડોદરા શહેરમાં ટ્રાફિક અને રસ્તાના કામોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા એક મહત્ત્વની જાહેર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ગોરવા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી અને ત્યારબાદ નવા રોડના નિર્માણને પગલે વાહનચાલકો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગેની નોટિફિકેશનવડોદરા શહેરના ગોરવા પંચવટી કેનાલથી ઝુબી સર્કલ સુધી એક માર્ગ ડ્રેનેજ લાઇન નાખવાના કારણે રસ્તો ખરાબ થયેલ હોય, તેને સંપૂર્ણ ખોદાણ કરી નવેસરથી બનાવવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી આગામી 20 જાન્યુઆરીથી આગામી એક મહિના સુધી ચાલશે. જેના કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોએ અન્ય એક માર્ગ પર બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગેની નોટિફિકેશન પાલિકાએ જાહેર કરી છે. પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકેઆ કામગીરી દરમિયાન રસ્તાનો એક ટ્રેક સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન બીજા ટ્રેક પરથી જ બંને તરફના ટ્રાફિકની અવરજવર કરવાની રહેશે. કોર્પોરેશનના રોડ શાખા દ્વારા જાહેર જનતાને આ કામગીરીમાં સહકાર આપવા અને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. એક જ ટ્રેક પર બંને બાજુનો ટ્રાફિક હોવાથી આ માર્ગ પર પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે, જેથી વાહનચાલકોએ સાવચેતી પૂર્વક પસાર થવા જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:37 am

છોટા ઉદેપુર-દાહોદ સરહદે વાઘના જીવ પર જોખમ:ગેરકાયદે રેતીના ડમ્પરોથી ભય, વન વિભાગને કાર્યવાહીની માગ

ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદે છેલ્લા એક વર્ષથી વાઘની હાજરી નોંધાઈ છે. આ વાઘના જીવ પર ગેરકાયદે રેતીના ડમ્પરોથી ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે, જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. રાજ્યમાં 40 વર્ષ બાદ વાઘની હાજરી નોંધાઈ છે. છેલ્લા એક વર્ષથી આ વાઘ છોટા ઉદેપુર અને દાહોદની સરહદના જંગલમાં વસવાટ કરી રહ્યો છે, જેના કારણે તેના કાયમી વસવાટની સંભાવનાઓ જોવાઈ રહી છે. વન વિભાગે પુષ્ટિ કરી છે કે વાઘ આ સરહદી વિસ્તારમાં વસવાટ કરે છે. આ બંને જિલ્લાની સરહદે આવેલા કેવડી (ઇકો ટુરિઝમ) અને દાહોદના રતનમહાલ અભ્યારણ્ય વચ્ચેના માર્ગ પર રાત્રિ દરમિયાન કોઈ અધિકૃત લીઝ ન હોવા છતાં રેતીના ડમ્પરો પાર્ક કરેલા જોવા મળે છે. આ વિસ્તાર વાઘનો મુખ્ય કોરિડોર છે. રાત્રિ દરમિયાન ડમ્પરોનો અવાજ અને હેડલાઇટ વાઘ અથવા અન્ય વન્યપ્રાણીઓને વાહનની અડફેટે આવવાની સંભાવના વધારે છે. આ બેદરકારી વાઘ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ મામલે છોટા ઉદેપુરના જાગૃત વકીલ અને પૂર્વ વન અધિકારીના પુત્ર જાવેદ અલી બલોચે કલેક્ટર અને વન વિભાગને અરજી કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરવાની માગ કરી છે. વકીલ જાવેદઅલી બલોચે છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને કરેલી અરજીમાં કેવડીથી રતનમહાલ વચ્ચે રાત્રિ દરમિયાન ડમ્પરોની અવરજવર પર તાત્કાલિક રોક લગાવવા, વન વિભાગ અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવા અને આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે રેતી ચોરીની તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:06 am

સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે

Silver and Gold Latest Rate : ભારતીય વાયદા બજાર (MCX) માં મંગળવારે, 20 જાન્યુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. રોકાણકારોની ભારે ખરીદીને કારણે બંને કિંમતી ધાતુઓમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ₹3.13 લાખને પાર આજના કારોબારમાં ચાંદીએ અભૂતપૂર્વ તેજી દર્શાવી છે.

ગુજરાત સમાચાર 20 Jan 2026 10:06 am

સુરતમાં કપલે તાપી નદીમાં ઝંપલાવ્યું:બે કલાકથી ફાયર ટીમનું બોટ લઈ સર્ચ ઓપરેશન, નદીના ઊંડા પાણીને લઈ હજુ સુધી યુગલનો કોઈ પત્તો નહીં

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી એક યુગલે તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા બોટ લઈને હાલ તાપી નદીમાં સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે. યુગલે બ્રિજ પર પહોંચી તાપી નદીમાં ઝંપલાવ્યુંમળતી માહિતી મુજબ, આજે સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે એક યુગલ સવજી કોરાટ બ્રિજ પર આવ્યું હતું અને અચાનક જ કોઈ અગમ્ય કારણોસર બંનેએ સાથે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યાંથી પસાર થતાં લોકો આ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને સમય સૂચકતા વાપરી તુરંત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરીઘટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવી પોતાની ટીમ અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા બોટની મદદથી નદીના વહેણમાં કપલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે કલાકથી વધુ સમયથી ફાયરની ટીમ નદીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નદીના ઊંડા પાણીને લીધે શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. હજુ સુધી આ યુગલનો કોઈ પતો લાગ્યો નથી. યુગલ અંગે હજું કોઇ જાણકારી મળી નથીઆ યુગલ કોણ હતું અને તેમણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ફાયર વિભાગ દ્વારા શોધખોળ પૂર્ણ થયા બાદ અથવા કોઈ ભાળ મળ્યા બાદ પોલીસ આ મામલે તપાસ તેજ કરશે. એક મહિના અગાઉ ધો-12 કોમર્સની વિદ્યાર્થિનીએ તાપી નદીમાં પડતું મુક્યું હતું સુરતમાં વરાછા વિસ્તારના એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતી ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિનીએ ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. માતા બાદ પિતા પણ બે દિવસથી ઘર છોડીને જતાં રહેતા આઘાતમાં પુત્રીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણીએ લખ્યું હતું કે, હું તાપી નદીમાં ઠેકડો મારું છું. મોટાભાઈએ પીછો કર્યો પરંતુ તે બહેનને બચાવી શક્યો નહિ અને તેની નજર સામે જ બહેને તાપીમાં કૂદી મોતને વહાલુ કર્યું. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:05 am

નવનીત બાલધીયા પર હુમલા મામલે SITએ વધુ એકની ધરપકડ કરી:આરોપીનું ભાવનગર સર્ટી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું, બગદાણા હુમલા કેસમાં ધરપકડનો આંક 11 થયો

બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં SITની તપાસ દરમિયાન વધુ એક આરોપી ઝડપાયો છે. તળાજા તાલુકાના કોદીયા ગામનો રહેવાસી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત મોડી રાત્રિના આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓનો કોર્ટમાંથી કબજો મેળવાયો હતોમહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં પ્રથમ 8 આરોપીને પોલિસે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ બનાવ અંગે ભાવનગર રેન્જ આઇજી દ્વારા તા.5 જાન્યુઆરીના રોજ એક SIT ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની કોર્ટમાંથી કબ્જો મેળવી SIT દ્વારા રિમાન્ડ મેળવ્યા હતા. SITની ટીમે ગત મોડી રાત્રે વધુ એક આરોપીને ઝડપી પાડ્યોરિમાન્ડમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન SIT ટીમ દ્વારા પ્રથમ કાનાભાઈ ભીખાભાઇ કામલિયાને અને ત્યાર બાદ સંજય ચાવડાને ઝડપી પાડ્યા હતા. ત્યારે ગત રાત્રિના આ બનાવમાં SITએ વધુ એક શખસ દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેને ગત મોડી રાત્રિના મેડિકલ ચેકઅપ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે SITની તપાસ દરમિયાન 3 અને અગાઉ 8 મળી કુલ 11 શખસોની ધરપકડ કરવામાં આવી છે. બગદાણા હુમલા પ્રકરણમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડબગદાણા હુમલાની ઘટનામાં આરોપી નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતિષ વનાળીયા, ભાવેશ સેલાળા, વિરુ સઈડા, પંકજ મેર સહિત 8ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. તે SITની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા અને ત્યાર બાદ સંજય ચાવડા ને ઝડપી પાડવામાં આવ્યા હતો, અને ગત રાત્રીના દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:54 am

મોરબી પાસે ટ્રક પાછળ ટ્રેલર ઘૂસ્યું, ડ્રાઇવર કેબીનમાં ફસાયો:જેસીબીની મદદથી મહામુસીબતે બહાર કાઢી જીવ બચાવાયો, હાઈવે પર ટ્રાફિક જામ

મોરબીના આમરણ ગામ નજીક માવના ગામ પાસે સોમવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. માટી ભરેલા ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં ટ્રેલરનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને જેસીબીની મદદથી મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના મોરબી જિલ્લાના આમરણ ગામ પાસેથી જામનગર તરફ જતા હાઇવે રોડ પર બની હતી. આગળ જઈ રહેલા માટી ભરેલા ટ્રકની પાછળ આવી રહેલા ટ્રેલરના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું. ટ્રેલરની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતને કારણે ટ્રેલરનો ચાલક વાહનની કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબી દ્વારા કેબિન ખોલીને ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતને કારણે માળિયા-જામનગર હાઇવે રોડ પર આમરણ ગામ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક ક્લિયર કરવા માટે અકસ્માતગ્રસ્ત ટ્રેલરને રોડ સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું, ત્યારબાદ હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:34 am

પાટણમાં બહુચર માતાજીની નગરયાત્રાનું આયોજન:મોઢ મોદી જ્ઞાતિ દ્વારા 23 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમો યોજાશે

પાટણના મોઢ મોદી (ઘાંચી) જ્ઞાતિ સમાજ દ્વારા વસંતપંચમીના પાવન અવસરે 23 જાન્યુઆરી 2026ના રોજ બહુચર માતાજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંગીત સંધ્યા, રાસ-ગરબા અને વિવિધ ધાર્મિક વિધિઓ સાથે જ્ઞાતિના સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું છે. મોઢ મોદી જ્ઞાતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુળદેવી બહુચર માતાજીની નગરયાત્રા નીકાળવામાં આવશે. આ ઉત્સવની શરૂઆત 22 જાન્યુઆરી 2026, ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે સંગીત સંધ્યા અને રાસ-ગરબાના કાર્યક્રમથી થશે. મુખ્ય મહોત્સવ 23 જાન્યુઆરી, શુક્રવાર એટલે કે મહા સુદ પાંચમ (વસંતપંચમી)ના દિવસે યોજાશે. આ દિવસે વહેલી સવારથી જ ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવશે, જેમાં સવારે 5:15 કલાકે માતાજીના પ્રથમ દ્વાર ખોલવાના દર્શન, સવારે 6:00 કલાકે સાડી પહેરામણી અને સવારે 7:00 કલાકે આંગીના દર્શન યોજાશે. ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીમાં સવારે 8:30 કલાકે ધજા આરોહણ અને સવારે 10:15 કલાકે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1:15 કલાકે શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ થયા બાદ માતાજીની પાલખીમાં પધરામણી કરવામાં આવશે. આ શોભાયાત્રા બપોરે 3:15 કલાકે રામશેરી સ્થિત નિજ મંદિરેથી પ્રસ્થાન કરશે અને શહેરના નિયત માર્ગો પર નગરચર્યા કર્યા બાદ રાત્રે 9:00 કલાકે પરત ફરશે. આ શોભાયાત્રા દરમિયાન બજરંગ યુવક મંડળ દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવના અંતે સાંજે 6:00 કલાકે એકતા ગ્રુપ દ્વારા જ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન પાટણના રામશેરી, રાજકાવાડો સ્થિત બહુચર માતાજીના મંદિરે સંપન્ન થશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:25 am

અમરેલીના ખાંભામાં દીપડાનો આતંક:મધરાતે ઘરમાં ઘૂસ્યો તો પરિવારે રૂમમાં પૂરી દીધો; દોઢ કલાકની જહેમત બાદ વનવિભાગે ટ્રેન્ક્યુલાઇઝરથી પાંજરે પૂર્યો

જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓનો વસવાટ અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે વન્યજીવો હવે ગ્રામ્ય વિસ્તારો છોડીને લોકોના સીધા સંપર્કમાં એટલે કે રહેણાક મકાનો સુધી પહોંચી રહ્યા છે. આવી જ એક શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના ખાંભા તાલુકાના નાનીધારી ગામમાં મોડી રાત્રે બની હતી, જ્યાં એક દીપડો પરિવારના ઘરમાં ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. પરિવારની સમયસૂચકતાથી જાનહાનિ ટળીનાનીધારી ગામના રહેવાસી પ્રતાપભાઈ માંજરિયાના મકાનમાં મોડી રાત્રે અચાનક એક ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. દીપડો ઘરમાં ઘૂસી જતાં પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા અને ભારે દહેશત ફેલાઈ હતી. જોકે, પ્રતાપભાઈ અને તેમના પરિવારે ગભરાવાને બદલે અદભૂત સમયસૂચકતા વાપરી હતી. તેમણે જીવના જોખમે સાવચેતી દાખવી ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા અને દીપડાને રૂમમાં જ પૂરી દીધો હતો. આ ત્વરિત નિર્ણયને કારણે દીપડો ઘરની બહાર નીકળી શક્યો નહોતો અને ગામના અન્ય લોકો પર થનાર સંભવિત હુમલો કે મોટી જાનહાનિ ટળી હતી. વનવિભાગનું દોઢ કલાકનું ‘મેગા ઓપરેશન’ઘટનાની જાણ થતા જ ખાંભા વનવિભાગનો કાફલો હરકતમાં આવ્યો હતો. RFO નિપુલ લકુમ સહિત ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રાત્રિના અંધકારમાં દીપડાને પકડવો પડકારજનક હોવાથી વનવિભાગ દ્વારા ખાસ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલી ભારે જહેમત બાદ, વનવિભાગની ટીમે રૂમમાં પુરાયેલા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર ગન (બેભાન કરવાની ગન) વડે શૂટ કરી બેભાન કર્યો હતો. દીપડો બેભાન થતાં જ તેને સલામત રીતે પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો. ગ્રામજનોમાં ભય અને રાહતદીપડો પાંજરે પુરાતા જ પ્રતાપભાઈના પરિવાર સહિત સમગ્ર નાનીધારી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ વનવિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. જોકે, આ ઘટનાએ વન્યજીવોના વધતા વસવાટ અને માનવ-વસવાટ વચ્ચેના સંઘર્ષની ચિંતા ફરી એકવાર જગાડી છે. અમરેલી જિલ્લામાં વારંવાર રહેણાંક વિસ્તારોમાં દીપડા ઘૂસી આવવાની ઘટનાઓ હવે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની છે. પ્રતાપભાઈ માંજરિયા (ઘરમાલિક)એ જણાવ્યું હતું કે,રાત્રે અચાનક દીપડો અમારા ઘરમાં આવી ગયો હતો. અમે ખૂબ ડરી ગયા હતા, પણ તરત જ બુદ્ધિ વાપરી દરવાજો બંધ કરી દીધો જેથી તે બહાર નીકળી ન શકે. ત્યાર બાદ વનવિભાગને જાણ કરી અને તેમણે સમયસર આવીને દીપડાને પકડી લીધો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:12 am

મોડાસામાં કુલદીપ હોસ્ટેલ ટીમે 42 કિલો દોરા એકઠા કર્યા:ઉત્તરાયણ બાદ પક્ષીઓને બચાવવા સેવાકાર્ય કર્યું

અરવલ્લીના મોડાસામાં કુલદીપ હોસ્ટેલની ટીમે ઉત્તરાયણ બાદ પક્ષીઓને બચાવવા માટે એક સેવાકાર્ય હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત, ટીમે વિવિધ સોસાયટીઓમાંથી કુલ 42 કિલોગ્રામ પતંગના દોરા એકઠા કરીને તેનો નાશ કર્યો હતો. આ સેવાકાર્યમાં 70થી વધુ વિદ્યાર્થીમિત્રો અને સંચાલકો શૈલેષભાઈ, અલ્પેશભાઈ, વિક્રમભાઈ અને પરેશભાઈ જોડાયા હતા. તેમણે 10 જેટલી મોટી ટીમો બનાવીને શહેરના ડીપ વિસ્તારમાં કામગીરી કરી હતી. આ ટીમોએ માજુમ, દેવભૂમિ, અલંકાર, મારવાડીવાસ, શિવમ, ગોવર્ધન, જલદીપ, જલધારા, પારસ અને સોપાન જેવી મોટી સોસાયટીઓમાં ફરીને પતંગના દોરા એકઠા કર્યા હતા. કુલદીપ હોસ્ટેલ દ્વારા છેલ્લા 11 વર્ષથી ઉત્તરાયણ પછી આ પ્રકારનું જીવદયાનું કાર્ય નિયમિતપણે કરવામાં આવે છે, જે પક્ષીઓના જીવ બચાવવામાં મદદરૂપ થાય છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:00 am

સુરતમાં બેફામ સ્વિફ્ટ કારે આંખના પલકારે ઉભેલી ગાડીને ઉડાવી, CCTV:કારની ટક્કર વાગતા આગળ ઉભો યુવક બોનેટ પર પછડાઈ ફંગોળાયો, કારચાલક અકસ્માત સર્જી ફરાર

સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ બનેલા સ્વિફ્ટ કારચાલકે રોડ સાઈડમાં ઉભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતા. આ સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, આ ઘટના માત્ર આંખના પલકારામાં ઘટી હતી અને કારના ચાલક એવા શિક્ષક માંડ-માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. શું હતી સમગ્ર ઘટના?પુણા ગામમાં રહેતા અને વેસુની સી.સી. રવિશંકર વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ અમૃતલાલ સુરતીએ આ અંગે પુણા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. ઘટના બે દિવસ પહેલા સાંજે આશરે 5.15 વાગ્યાની આસપાસ મહાવીર નગર પાસે બની હતી. શૈલેષભાઈ પોતાના મિત્રની સફેદ કલરની સેલેરિયો કાર (GJ-19-BR-1812) લઈને જઈ રહ્યા હતા. ફૂલ સ્પીડમાં કારના પાછળના ભાગે જોરદાર ટક્કર મારીશૈલેષભાઈ રસ્તામાં મહાવીર નગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા માટે ઉભા રહ્યા હતા. તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર (નંબર: GJ-06-EQ-1243) ફૂલ સ્પીડમાં આવી હતી અને શૈલેષભાઈની કારને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. કારનો ચાલક કાર લઈને સ્થળ પરથી ફરારસીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ અકસ્માત એટલો જોરદાર હતો કે જો કારચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. શૈલેષભાઈ આ અકસ્માતમાંથી માંડ-માંડ બચ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. કારના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાનટક્કરના કારણે સેલેરિયો કારના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન થયું હતું. આ મામલે પુણા પોલીસે શિક્ષક શૈલેષભાઈ સુરતની લેખિત ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબર (GJ-06-EQ-1243)ના આધારે ફરાર સ્વિફ્ટ કારચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:51 am

પાટણના ઓજી વિસ્તારોના 113 કામો મંજૂર:રૂ. 7.36 કરોડની ગ્રાન્ટને ફાઇનાન્સ બોર્ડે સૈદ્ધાંતિક મંજૂરી આપી

પાટણ શહેરની હદમાં સમાવિષ્ટ હાંસાપુર, રામનગર, માતરવાડી અને બકરાતપુરા જેવા આઉટગ્રોથ (ઓજી) વિસ્તારોમાં પાણી, સ્ટ્રીટ લાઈટ અને રોડ-રસ્તાના વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ. 7,36,47,182ની ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ કુલ 113 કામો હાથ ધરાશે. ફાઇનાન્સ બોર્ડ દ્વારા 17 જાન્યુઆરી, 2026ના રોજ આ મંજૂરી અપાઈ હતી. આ કામોમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણીની પાઇપલાઇનો નાખવાનો સમાવેશ થાય છે. આગામી શુક્રવારે પાટણ નગરપાલિકા ખાતે મળનારી તાંત્રિક કમિટીની બેઠકમાં આ 113 કામો માટેની ટેન્ડર પ્રક્રિયા અંગે ચર્ચા કરીને તેને હાથ ધરવામાં આવશે. પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા ઓજી વિસ્તારના વિકાસ માટે સરકારે ફાળવેલી રૂ. 8 કરોડની ગ્રાન્ટમાંથી સૂચવેલા વિવિધ રોડ-રસ્તાના કામોને મંજૂર કરવા માટે રાજ્યના મંત્રી દર્શનબેન વાઘેલા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈને રજૂઆત કરવામાં આવી હતી. આખરે, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધિક કમિશનર વીણાબેન પટેલે આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ મળી રહે તે માટે 2025-26ની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 1138 કરોડની બજેટ જોગવાઈ કરી હતી. તેમાંથી રૂ. 100 કરોડ નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા હતા. પાટણ નગરપાલિકા 'અ' વર્ગમાં આવતી હોવાથી તેને આઉટગ્રોથ માટે રૂ. 8 કરોડની રકમ મળવાપાત્ર હતી. પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરી, ગાંધીનગર ઝોન દ્વારા 15 ઓક્ટોબર, 2025 અને 18 નવેમ્બર, 2025ના પત્રોથી પાટણ નગરપાલિકામાં પેવર બ્લોક, ટ્રીમિક્સ, સીસી રોડ, બ્લોક પેવિંગ, પીવાના પાણીની પાઇપલાઇન અને એલઇડી સ્ટ્રીટ લાઇટ બનાવવાના કુલ 113 કામોની રૂ. 7,36,47,182ની અંદાજિત રકમની ગ્રાન્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરીની ભલામણ સહ દરખાસ્તો ફાઇનાન્સ બોર્ડને મોકલી હતી. આ ભલામણો મળતાં ફાઇનાન્સ બોર્ડે ઉપરોક્ત રકમ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરી, ગાંધીનગર ઝોનના હવાલે મૂકવાની મંજૂરી આપી હતી. આ મંજૂરી સાથે બોર્ડ દ્વારા સાત જેટલી શરતો પણ મૂકવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:46 am

વિદેશમાં રહેતા ભારતીય પરિવારે સોમનાથમાં ફળ વિતરણ કર્યું:1500થી વધુ વિદ્યાર્થીઓ, વૃદ્ધાશ્રમ અને જરૂરિયાતમંદોને લાભ

સોમનાથ પ્રભાસ પાટણમાં વિદેશમાં વસતા મૂળ ભારતીય સાવલિયા પરિવારે સેવાભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારે શહેરની વિવિધ શાળાઓના 1500થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધાશ્રમ અને જરૂરિયાતમંદ સંસ્થાઓમાં ફળોનું વિતરણ કર્યું હતું. મૂળ વડોદરાના અને હાલ વિદેશમાં સ્થાયી થયેલા ડૉ. આર.ડી. સાવલિયા પરિવારના સભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે પ્રભાસ પાટણ આવ્યા હતા. આ દરમિયાન, ભારતીય સંસ્કૃતિના દાન અને સેવાના ભાવથી પ્રેરિત થઈ તેમણે સમાજસેવાની પહેલ કરવાનું નક્કી કર્યું હતું. પરિવારના સભ્યો હેમલતાબેન, હરેશભાઈ પટેલ, પુત્રી કાશ્મીરાબેન પટેલ અને પુત્ર જનકભાઈ પટેલે બાળકોમાં સંસ્કાર સિંચન અને પરોપકારના હેતુથી શાળાના બાળકોને ફળાહાર કરાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના ભાગરૂપે, શહેરની કન્યાશાળા, કુમારશાળા, સરસ્વતી વિદ્યાલય અને ગુરુકુળ પ્રાથમિક શાળા સહિતની સંસ્થાઓમાં અભ્યાસ કરતા આશરે 1500થી વધુ વિદ્યાર્થીઓને સફરજન, કેળા અને બોર જેવા પૌષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના બાળકો ઉપરાંત, પરિવારે વૃદ્ધાશ્રમ અને અન્ય જરૂરિયાતમંદ સંસ્થાઓમાં પણ ફળોનું વિતરણ કર્યું. શિયાળાની ઋતુમાં આરોગ્યદાયક ફળો આપીને વૃદ્ધો અને જરૂરિયાતમંદોને પોષણ પૂરું પાડવામાં આવ્યું. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે પ્રભાસ પાટણના ડૉ. આર.ડી. સાવલિયા, તાલુકા શાળાના આચાર્ય જાખોત્રા, કન્યાશાળાના આચાર્ય પંપાણીયા તેમજ શહેરની વિવિધ શાળાના આચાર્યો અને સ્ટાફનો સહકાર પ્રાપ્ત થયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:38 am

સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી:દર્દીઓ સાથે સંવાદ કરી સમસ્યાઓ જાણી, સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપી

જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં સાંસદ પૂનમબેન માડમે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી અને દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સાંસદે દર્દીઓને પડતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી. તેમણે હોસ્પિટલની સારવાર અને અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે તાત્કાલિક જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જરૂરી સૂચનાઓ આપી હતી. સાંસદ પૂનમબેન માડમની આ મુલાકાત સમયે જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દીપક તિવારી, મેડિકલ કોલેજના ડીન નંદની દેસાઈ સહિત વિવિધ વિભાગોના એચઓડી અને ડોકટરોની ટીમ હાજર રહી હતી. પૂનમબેન માડમે દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમની સમર્પિત સેવાઓની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં વધુ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:01 am