SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

બોટાદ ભાજપે ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે પુષ્પાંજલિ આપી:જિલ્લા કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો, આગેવાનો ઉપસ્થિત રહ્યા

બોટાદ જિલ્લા ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ વક્તા અને ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને દીવા પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધારાસભ્ય શંભુનાથ ટુંડીયાએ જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે રાષ્ટ્રને સમર્પિત ભાવથી સંવિધાન નિર્માણ સહિત સમાજજીવનના વ્યાપક ક્ષેત્રોને સ્પર્શતા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આજના ભારતને ઊભું કરવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. આ મહાન યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:54 pm

હિંમતનગરમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી:સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, કલેક્ટર-પોલીસ વડા ઉપસ્થિત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાઉનહોલ ખાતે દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, સમાજ સુરક્ષા અધિકારી મનીષ જોષી સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણે લોકતાંત્રિક સમાજમાં જીવીએ છીએ અને સરકારની યોજનાઓ દ્વારા સૌને મજબૂત તથા સ્વાભિમાનભર્યું જીવન જીવવાનો સમાન હક છે. તેમણે ઉમેર્યું કે, વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સમાજમાં કોઈ અશક્ત નથી, સૌ સમાન શક્તિ ધરાવે છે. સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા દિવ્યાંગજનોની દેખરેખ રાખવામાં આવશે. સક્ષમ સંસ્થાના મનુ પુરોહિતે દિવ્યાંગજનોને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, ભારતે ઓલિમ્પિક્સ કરતાં દોઢ ગણા વધુ ગોલ્ડ મેડલ પેરાલિમ્પિક્સમાં જીત્યા છે. તેમણે સૂચવ્યું કે, વિરાટ કોહલીને જાહેરાતોમાં લેવા પાછળ દોડતી કંપનીઓએ દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ, ત્યારે જ સમાજમાં સાચું પરિવર્તન આવશે. પુરોહિતે દિવ્યાંગજનો પ્રત્યેની દ્રષ્ટિ બદલવાની અને વડાપ્રધાન દ્વારા અપાયેલ 'દિવ્યાંગ' શબ્દની યોગ્યતા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન જયદીપ ગઢવીએ લોક ડાયરો રજૂ કર્યો હતો, જ્યારે હાસ્ય કલાકાર બબલુ રબારીએ ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું. સુભાષચંદ્ર બોસના એકપાત્રીય અભિનયે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત, સુધાબેન જોષી દ્વારા તમામ દિવ્યાંગજનોને ભેટ સ્વરૂપે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:47 pm

ડાંગમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ:100% ડિજીટાઇઝેશન બાદ BLO-સુપરવાઈઝરોને તાલીમ અપાઈ

ડાંગ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ SIRની તમામ મુખ્ય પ્રક્રિયાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવી. EF વિતરણ અને ગણતરી ફોર્મના 100 ટકા ડિજીટાઇઝેશન (EF Digitized)ની કામગીરી પૂર્ણ થવી એ જિલ્લા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ સફળતાની ઉજવણી નિમિત્તે માલેગામ ખાતે જિલ્લાભરના BLO અને સુપરવાઈઝરો માટે રિફ્રેશમેન્ટ તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં પ્રાંત અધિકારી કાજલ આંબલિયા અને નાયબ ચૂંટણી અધિકારી એમ.કે. ખાંટે હાજર રહી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે ડુંગરાળ અને નેટવર્કવિહોણા વિસ્તારોમાં BLO દ્વારા સમયસર અને ઉત્સાહપૂર્વક કાર્ય પૂર્ણ કરવા બદલ પ્રશંસા કરી. SIR ઝુંબેશ દરમિયાન BLO દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ વિગતોનું સંકલન, ફોર્મની ચકાસણી, મતદાર યાદીમાં ઉમેરા-કાપણાં અને સુધારાની કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરાઈ હતી. આના કારણે ડાંગ જિલ્લામાં SIRની ચૂંટણીલક્ષી કામગીરી નિર્ધારિત સમય પહેલાં પૂર્ણ થઈ શકી. રિફ્રેશમેન્ટ તાલીમમાં BLOને મનોરંજન સાથે ટીમ વર્ક વધારતી પ્રવૃત્તિઓ કરાવાઈ. તેમને આગામી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, નવી ટેકનિકલ સૂચનાઓ અને મેદાની કાર્ય દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન અપાયું. ઉપસ્થિત કર્મચારીઓએ ભવિષ્યમાં પણ ઉત્સાહ અને જવાબદારી સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ડાંગ જિલ્લામાં SIR કાર્યક્રમની સમયમર્યાદામાં અને 100 ટકા ચોકસાઈથી પૂર્ણાહુતિ થવી એ સમગ્ર ચૂંટણી તંત્ર માટે એક ઉદાહરણરૂપ સિદ્ધિ માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:39 pm

રાજકોટને નર્મદાનો એકમાત્ર આધાર:રાજકોટનાં આજી-ન્યારીમાં એક મહિનો ચાલે તેટલું જ પાણી, મનપા દ્વારા ભર શિયાળે 3150 MCFT નર્મદાનાં નીરની રાજ્ય સરકાર પાસે માંગ કરાઈ

રાજકોટને પાણી પુરૂ પાડતાં આજી અને ન્યારી ડેમમાં આગામી જાન્યુઆરી માસ પછી નર્મદાનીર ઠલવવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. હાલ બન્ને ડેમમાં 15 જાન્યુઆરી બાદ પાણીની જરૂરિયાત ઉભી થાય તેમ છે. જોકે મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજન તરીકે નર્મદાનીરની માગણી કરવામાં આવી છે. સામાન્ય રીતે દરવર્ષે 2600 MCFT પાણીની માંગ કરવામાં આવે છે. પરંતુ એપ્રિલ-મેં મહિનામાં નહેરના સમારકામ માટે બંધ કરવામાં આવનાર હોય આ વર્ષે 3150 MCFT નીર આપવા માંગ કરવામાં આવી છે. રાજકોટને પાણી પુરૂ પાડતો આજીડેમ ચોમાસામાં ઓવરફ્લો થયો હતો. જ્યારે, ન્યારી ડેમ ઓવરફલો થયો નથી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો પડતાં આજી અને ન્યારી ડેમ 2026ના વર્ષના પ્રારંભમાં જ પાણી માટે આગોતરૂં આયોજન કરવાની ફરજ પડી છે. જેને લઈને રાજ્ય સરકાર પાસેથી સૌની યોજના હેઠળ 3150 MCFT નર્મદાનીર આપવાની માગ કરવામાં આવી છે. હાલની સ્થિતિની વાત કરીએ તો આજી-1માં હાલમાં 862.56 ફૂટ પાણી છે. જ્યારે ન્યારી-1 ડેમમાં 995.09 ફૂટ પાણી ઉપલબ્ધ છે. જેમાં આજી ડેમમાંથી દરરોજ 145 MLD અને ન્યારી ડેમમાંથી 225 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. બન્ને ડેમમાં હાલમાં રહેલો પાણીનો જથ્થો 15 જાન્યુઆરી સુધી જ ચાલે તેમ છે. આગોતરા આયોજનરૂપે તા.15 જાન્યુઆરી બાદ બે તબક્કામાં સૌની યોજના હેઠળ 3150 એમસીએફટી નર્મદાનીર માંગવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજકોટને પાણી પુરૂ પાડતાં આજી અને ન્યારી ડેમ દરવર્ષે ચોમાસામાં ઓવરફલો થઈ જતાં હોવા છતાં શહેરના વધતાં જતાં વિકાસ અને વિસ્તારની સાથે પાણીની ડિમાંન્ડ પણ વધતાં આ બન્ને જળાશયો રકાબી જેવા સાબિત થઈ રહ્યા છે. પરિણામે મનપાને દરવર્ષે બે વાર સૌની યોજના હેઠળ નર્મદા નીર લેવા પડે છે. મનપા દ્વારા આગોતરૂં આયોજન કરવા માટે દરવર્ષે બે વખત સરકારને પત્ર પાઠવીને નર્મદાનીરની માંગ કરવામાં આવે છે. જેમાં ઉનાળાની શરૂઆત પૂર્વે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને ત્યારબાદ જૂલાઈ માસના અંતમાં રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજના હેઠળ નર્મદાનીરની માંગ કરવામાં આવે છે. જોકે આ વર્ષે વરસાદ ઓછો હોવાથી પાણીની જરૂર વહેલી પડે તેમ છે. આ કારણે મનપા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખાયો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:39 pm

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ:10 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 10મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફી ભરી શકશે. 10 તારીખ સુધી રેગ્યુલર ફી સાથે,ત્યારબાદ 22મી સુધી લેટ ફી સાથે ફોર્મ ભરાશેરેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર 2025 હતી, જેને વધારીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2025 સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. લેટ ફી ત્રણ તબક્કામાં રાખવામાં આવી છે—11 થી 14 ડિસેમ્બર દરમ્યાન ₹250, 15 થી 18 ડિસેમ્બર દરમ્યાન ₹300 અને 19 થી 22 ડિસેમ્બર દરમ્યાન ₹350 લેટ ફી રહેશે. શાળા કક્ષાએથી 22મી સુધી વિદ્યાર્થીઓની માહિતીમાં સુધારો થઈ શકશેશાળા કક્ષાએથી વિદ્યાર્થીની માહિતીમાં સુધારો કરવાની સુવિધા 22 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે અને તેના માટે કોઈ વધારાની ફી ભરવાની નહીં હોય. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ પણ 22 ડિસેમ્બર, રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે. વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિબોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ તથા ફી ભરવાની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ, વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જોકે લેટ ફીમાંથી કોઈને મુક્તિ આપવામાં આવનાર નથી. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે. 29 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા આ સાથે જ ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે. 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:37 pm

પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનો લોકદરબાર યોજાયો:નાગરિકોએ લેખિત રજૂઆતો કરી, પ્રશ્નોના ઝડપી ઉકેલની ખાતરી

પોરબંદરમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયો હતો. લોકદરબાર દરમિયાન, નાગરિકોએ પોતાના વિવિધ પ્રશ્નો લેખિત રજૂઆતો દ્વારા મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું કે, પોરબંદર જિલ્લાના પ્રશ્નો સાંભળીને તેના ઝડપી ઉકેલ માટે આ લોકદરબારનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું કે, પ્રાપ્ત થયેલી તમામ રજૂઆતો અંગે વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. મંત્રી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભાજપ સરકાર જિલ્લા સ્તરે જ પ્રજાના પ્રશ્નો સાંભળીને તેનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પોરબંદરને વૈશ્વિક નકશા પર આગળ વધારવાના મહત્વપૂર્ણ કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ તે સાથે નાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું પણ એટલું જ અનિવાર્ય છે. આ લોકદરબારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોક મોઢા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન આવડા ઓડેદરા અને પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ માહિતી જિલ્લા ભાજપ મીડિયા સેલના સહ-કન્વીનર હર્ષ રૂઘાણી દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:36 pm

સ્વામિનારાયણ સ્કૂલમાં જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ:વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત 150 પ્રોજેક્ટ રજૂ કરાયા

નવસારીની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 6 ડિસેમ્બર, 2025ના રોજ જિલ્લા કક્ષાનો વોકેશનલ એજ્યુકેશન કૌશલ્યોત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર લગભગ 150 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, ઑટોમોબાઇલ, એગ્રીકલ્ચર, બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થ કેર, સ્પોર્ટ્સ, ફૂડ એન્ડ પ્રોસેસિંગ, રિટેલિંગ, હૉસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ, પ્લમ્બિંગ અને ઑટોમોટિવ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સુપ્ત શક્તિઓ અને કૌશલ્યોનો સર્વાંગી વિકાસ કરવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને ઈશ્વર પ્રાર્થનાથી થયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ ગોંડલીયા, આચાર્ય હિરેન ઉપાધ્યાય, AEI રોહન ટંડેલ, RMSA કો-ઓર્ડીનેટર ઈશ્વર શાહ અને BRC કો-ઓર્ડીનેટર મેહુલ ભટ્ટ સહિત દરેક તાલુકા કક્ષાએથી પધારેલા BRPs ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને સ્મૃતિભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું. અતિથિ વિશેષ તરીકે રોહન ટંડેલ અને ઈશ્વર શાહ હાજર રહ્યા હતા. નિર્ણાયકોમાં ડૉ. ડેની ટંડેલ, ડૉ. એમ.ડી. ખૂંટ, ડૉ. દિલીપ પટેલ અને ડૉ. અંકુર દેસાઈનો સમાવેશ થતો હતો. ત્યારબાદ સન્માન અને આભાર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો અને પ્રદર્શનને વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓના નિરીક્ષણ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાનો શ્રેય સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નવસારી, વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આયોજિત આયોજકો અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ ગોંડલીયાને ફાળે જાય છે. શાળાના આચાર્ય હિરેન ઉપાધ્યાય, ઉપાચાર્ય ભાવનાબેન નાયક તથા કો-ઓર્ડીનેટર આશાબેન, મનમિતબેન, જીનલબેન અને પાયલબેને પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સંસ્થાએ તમામ અતિથિ વિશેષો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:29 pm

સુરતમાં 340 દિવસમાં 939 આરોપીઓને પાસા:1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 7 સહિત કુલ 26 આરોપીઓ 6 દિવસમાં પાસા હેઠળ જેલભેગા

સુરત શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ એક કડક પગલું ભર્યું છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતની સૂચનાથી છેલ્લા 6 દિવસમાં કુલ 26 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી દેવાયા છે. આ કાર્યવાહીમાં 1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 07 મુખ્ય આરોપીઓનો પણ સમાવેશ થાય છે. 1500 કરોડના સાયબર ફ્રોડના આરોપીઓ જેલભેગાસુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરના 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓ – (1) રંજની ઉર્ફે રજની કુંભાણી, (2) હાર્દિક કુંભાણી, (3) દર્શનભાઇ સવાણી, (4) હાર્દિક મૈયાણી, (5) દિપક રાજપુત, (6) પરેશ નાવડીયા, અને (7) સંદિપભાઇ બેલડીયાની પાસા હેઠળ અટકાયત કરી છે. આ તમામ આરોપીઓને અનુક્રમે મહેસાણા, ભુજ અને રાજકોટની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 અને આઇ.ટી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે, જે દર્શાવે છે કે સુરત શહેરના લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. ડુપ્લીકેટ જેલર અને દેહ વ્યાપારના સંચાલક પર પણ પાસાસાયબર ફ્રોડ ઉપરાંત અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતની લાજપોર જેલના ડુપ્લીકેટ જેલર અને ડુપ્લીકેટ જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ બનીને આરોપીઓના સગા-સંબંધીઓ પાસેથી ટિફિન અને અન્ય સુવિધાઓના બહાને પૈસાની માંગણી કરનાર આરોપી રાજેશભાઇ ત્રિવેદીને પણ પાસા હેઠળ અમદાવાદની મધસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા અને કુટણખાનું ચલાવનાર આરોપી અમિત ઉર્ફે વિક્કી શાવને પણ પાસા હેઠળ ભુજની ખાસ જેલ ખાતે મોકલી દેવાયો છે. વ્યવસ્થામાં અવરોધરૂપ બનનાર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશેછેલ્લા 6 દિવસમાં સાયબર ફ્રોડ, ડુપ્લીકેટ જેલર, મારામારી, વાહન ચોરી, ધરફોડ ચોરી, મોબાઇલ સ્નેચીંગ, રીક્ષામાં ચોરી તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા કુલ 26 ઇસમોને પાસા હેઠળ જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, આગામી સમયમાં પણ કાયદો અને વ્યવસ્થામાં અવરોધરૂપ બનનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સુરત પોલીસે કુલ 939 આરોપીઓને પાસા હેઠળ મોકલી આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:20 pm

સરકારી સ્કૂલોમાં ‘શ્વાન જાગૃતિ’ તાલીમ શરૂ:નાના બાળકોને કૂતરા કરડે તો શું કરવું, કેવી રીતે બચવું તેની પ્રોજેક્ટરથી સ્કૂલમાં તાલીમ આપી

સુરતમાં રખડતા શ્વાનના વધતા આતંક અને નાના બાળકો પરના વારંવારના હુમલાની ગંભીર ઘટનાઓએ શિક્ષણ વિભાગને જાગૃત કર્યું છે. હવે શહેરની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત અભ્યાસની સાથે-સાથે ‘શ્વાન જાગૃતિ’નું વિશેષ પ્રશિક્ષણ શરૂ કરાયું છે, જેથી બાળકો શ્વાનના હુમલાનો ભોગ ન બને અને કરડાય તો તાત્કાલિક શું કરવું તેની જાણકારી મેળવી શકે. માર્ગદર્શિકા અને તાલીમની વિગતોશિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શ્વાન જાગૃતિ અંગેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકાના આધારે શિક્ષકો બાળકોને તાલીમ આપી રહ્યા છે, જેથી તેઓ શ્વાનના હુમલાનો ભોગ બનતા અટકે. કૂતરા કરડે તો શું કરવું તેનું માર્ગદર્શન બાળકોને અપાયુંસુરતના પાંડેસરાના નાગશેન નગરમાં આવેલી સરકારી શાળામાં બાળકોને પ્રોજેક્ટર દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી અસરકારક શિક્ષણ આપવામાં આવ્યું હતું. તાલીમa બાળકોને જણાવવામાં આવ્યું હતું ke,રખડતા શ્વાનોને હેરાન ન કરવા અથવા તેમની પજવણી ન કરવી, શ્વાનની નજીક એકલા ન જવું, વાન આક્રમક બને કે ભૂલો કરે ત્યારે કઈ રીતે કાળજી રાખવી તે સમજાવવામાં આવ્યું સાથે કૂતરા કરડે તો તાત્કાલિક કઈ રીતે પ્રાથમિક સારવાર અને તબીબી સહાય મેળવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમ બાળકોને સુરક્ષિત રાખવામાં મદદ કરશેસુરત સહિત રાજ્યભરમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ એક ગંભીર સામાજિક અને જાહેર આરોગ્યનો પ્રશ્ન બની રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો પરના હુમલાના બનાવો વધતા, તેમને આ પ્રકારનું પ્રશિક્ષણ આપવું સમયની માંગ અને આવશ્યક બન્યું છે. આ તાલીમ દ્વારા બાળકોને સુરક્ષિત રહેવા અને શ્વાન પ્રત્યે સમજણ કેળવવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:19 pm

કાંકણોલ ગામમાં ભાગવત સપ્તાહની તૈયારીઓ:વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ, 9 ડિસેમ્બરથી કથાનો પ્રારંભ

હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામમાં શ્રીમદ્દ ભાગવત કથા સપ્તાહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પુરાણા હનુમાન મંદિર, ગૌશાળા અને મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 9 થી 15 ડિસેમ્બર દરમિયાન આ કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. પુરાણા હનુમાન મંદિરના મહંત નાગેશગીરીએ જણાવ્યું હતું કે, કાંકણોલ ગામના ગ્રામજનોના સહયોગથી આયોજિત આ કથા સપ્તાહમાં કથાકાર હાર્દિક જોષી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. કથાનો પ્રારંભ 9 ડિસેમ્બર, મંગળવારે સવારે 11 કલાકે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કળશયાત્રા સાથે થશે. શનિવારે યોજાયેલા ધ્વજારોહણ કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સુધીર પટેલ, કનુ ટેલ, હિતેશ સોની, બ્રિજેશ પટેલ, શૈલેષ ભુવાસહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પ્રસંગે શ્રી શ્રી 1008 દિગમ્બર ખુશાલભારથી મહારાજ (મહાકાલ સેના સંસ્થાપક), દિનેશગીરી મહારાજ (કુંબેરભંડારી મહારાજ) અને મહંત લક્ષ્મણભારથી મહારાજ સહિત અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો નિરંજ પંડ્યા, રિયાબેન પટેલ, જયદીપ ગઢવી અને સાગર નાયક લોકડાયરો રજૂ કરશે. આ ઉપરાંત, 13 ડિસેમ્બર, શનિવારે રાત્રે દુષ્યંત પંડ્યા (સોનાસણવાળા) દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:18 pm

સોના-ચાંદીના દાગીના લઈને લૂંટેરી દુલ્હન ફરાર:ગેંગે યુવકને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી 10 લાખ પડાવ્યાં, 5 સામે ફરિયાદ નોંધાઈ

પાટણ જિલ્લાના રાધનપુરમાં એક યુવક સાથે લગ્નના નામે વિશ્વાસઘાત અને ખંડણીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુનાહિત કાવતરું રચીને યુવકને લગ્ન કરાવી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 10 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દુલ્હન બનેલી યુવતી યુવકના ઘરેથી રૂ. 1.25 લાખના સોના-ચાંદીના દાગીના લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ અંગે યુવકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાધનપુર પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી યુવક પશુપાલનનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલાં તેમના મોટા ભાઈ જે થરા ખાતે વાળીનાથ મંદિરમાં રસોયા તરીકે કામ કરતા હતા, તેમની આરોપી લાલા ભરવાડ સાથે મિત્રતા થઈ હતી. લાલા ભરવાડ પર તે જ મંદિરમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. આરોપી લાલા ભરવાડ ફરિયાદીના ઘરે અવારનવાર આવતા હતા અને તેમને ખબર પડી કે, ફરિયાદીના લગ્ન બાકી છે. ત્યારબાદ તેમણે ફરિયાદીને એક છોકરી સાથે લગ્ન કરાવવાની વાત કરી, પરંતુ જણાવ્યું કે, આ લગ્ન પેટે છોકરીના માતા-પિતાને રૂ. 10 લાખ આપવા પડશે. ફરિયાદીએ વિશ્વાસ મૂકીને આ વાત સ્વીકારી અને લગ્નની વાત આગળ ધપાવી. તારીખ 24/04/2025 ના રોજ સવારે 8 વાગ્યે આરોપી લાલા ભરવાડ, ફરિયાદી અને તેના પરિવારને ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે રાધનપુરથી બોટાદના ઝરીયા મુકામે છોકરી જોવા લઈ ગયા. ત્યાં જીવણ ભરવાડ, ગોવિંદ ભરવાડ અને મનુ ભરવાડ હાજર હતા. જીવણ ભરવાડે હીરલ નામની છોકરી પોતાની દીકરી હોવાનું જણાવ્યું હતું. તે દિવસે, ફરિયાદીના ભાઈએ રૂ. 1 લાખ રોકડા ગોવિંદ ભરવાડને જીવણ ભરવાડને આપવા માટે આપી સગાઇ નક્કી કરી હતી. બાકીના રૂ. 9 લાખ થોડા દિવસોમાં આપવાનું નક્કી થયું હતું. તારીખ 27/04/2025ના રોજ આરોપી લાલા ભરવાડે બાકીની રકમ માટે દબાણ કરતા, ફરિયાદીએ સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લઈને અને ઘરના દાગીના વેચીને રૂ. 8 લાખની સગવડ કરી હતી. આ રકમ ફરિયાદીના ભાઈએ દસાડા ખાતે મનુ ભરવાડ અને લાલા ભરવાડને રોકડા આપી દીધા હતા. તારીખ 01/05/2025 ના રોજ ફરિયાદી જાન લઈને દસાડા ગયા હતા. ત્યાં લાલા ભરવાડ મળ્યા અને તેઓ ફરિયાદીને સુરેન્દ્રનગરથી આગળ ચોટીલા નજીક હાઇવે રોડ ઉપર લઈ ગયા હતા. ત્યાં જીવણ, ગોવિંદ, મનુ અને તેમની સાથે એક ડોશીમાં એક ઇકો ગાડીમાં હીરલને લઈને આવ્યાં હતા અને હીરલને રસ્તામાં જ સોંપીને આરોપીઓએ કહ્યું હતું કે, લગ્નની વિધિ તમારી રીતે ઘરે જઇને કરી દેજો. ફરિયાદી હીરલને પોતાના ઘરે લાવ્યા, જ્યાં તે દોઢેક માસ જેટલો સમય રહી હતી. તે લગભગ 20 દિવસ રોકાઈ ત્યારે તેણે મોબાઈલ ફોનની માંગણી કરતા, ફરિયાદીએ નવો મોબાઇલ લઈ આપ્યો હતો. હીરલ વોટ્સએપથી કોઈને ફોન કરતી અને ફરિયાદી જોઈ જાય તો મેસેજ ડિલીટ કરી દેતી હતી. તા. 10/05/2025 ના રોજ જ્યારે હીરલ ગેરહાજર હતી, ત્યારે આરોપીઓ ગોવિંદ અને જીવણ ફરિયાદીના ઘરે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સગાઇના સોદા પેટેના રૂ, 1,00,000/- બાકી છે, તેથી હીરલ પરત આવવાની ના પાડે છે. તેમણે ધમકી આપી હતી કે, હીરલ ફરિયાદી અને તેના ભાઈને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની વાત કરે છે. ગભરાઈને ફરિયાદીએ તે દિવસે જીવણ ભરવાડને રૂ. 1,00,000/- રોકડા આપ્યા હતા. દસેક દિવસ પછી હીરલ ઘરે પાછી આવી અને દસેક દિવસ રોકાયા બાદ તેના માસી મરણ પામ્યા છે તેમ કહીને જતી રહી હતી. હીરલ ગઈ તે દિવસે ફરિયાદીએ ઘરમાં તપાસ કરતા જાણ થઈ કે, હીરલ રૂ. 1,25,000/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના (ચાંદીનું મંગળસૂત્ર ₹30,000/-, ચાંદીની ઝાંઝરી ₹30,000/-, સોનાની બુટ્ટી ₹40,000/- અને સોનાની નથલી ₹25,000/-) લઈને જતી રહી છે. ફરિયાદીએ આરોપીઓ પાસેથી રૂપિયા પાછા માંગતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીને ખબર પડી ગઈ કે, તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:17 pm

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025ની નેશનલ ગ્રાન્ડ ફિનાલે યોજાશે:ISRO-GTU દ્વારા સંયુક્ત રીતે આયોજન, યુવાઓને રાષ્ટ્રના વાસ્તવિક પડકારોનો ઉકેલ શોધવા એક મંચ પ્રદાન થશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સતત આઠમાં વર્ષે સ્માર્ટ ઇન્ડિયા ઇન્ડિયા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ગ્રાન્ડ ફિનાલેનું યજમાનપદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ઇનોવેશન આયોજન સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર-ISRO (SAC-ISRO)ના સહયોગથી આયોજિત થઈ રહ્યું છે. દેશભરના તેજસ્વી યુવાઓને રાષ્ટ્રના વાસ્તવિક પડકારોનો ઉકેલ શોધવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવશે. SIH વિશ્વનું સૌથી મોટું ઓપન ઇનોવેશન મોડેલસ્નાતક વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરના સમસ્યા નિવારણમાં જોડવા માટે SIHને 2017માં શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આજે SIH વિશ્વનું સૌથી મોટું ઓપન ઇનોવેશન મોડેલ બની ગયું છે. આ વર્ષે SIHમાં રેકોર્ડ બ્રેકિંગ પ્રતિસાદ મળી રહ્યો છે. કુલ 72,165 વિચારો અને 68,766 ટીમોએ તેમના સોલ્યુશન્સ રજૂ કર્યા છે. દેશભરના 2,587 સંસ્થાઓએ આંતરિક હેકાથોન્સ આયોજિત કર્યા હતા. જેમાં 8,26,635 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 3,34,456 મહિલા વિદ્યાર્થીઓ છે. 58 કેન્દ્રિય મંત્રાલયો, 15 રાજ્ય વિભાગો અને 7 PSU અને ઉદ્યોગ ભાગીદારોએ મળીને 271 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા. 2024ની સરખામણીએ આ વર્ષે ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ રાષ્ટ્રીય સ્તરે થયેલી કડક પસંદગી પછી 8,160 વિદ્યાર્થીઓની 1,360 ટીમો દેશમાં આવેલા 60 નોડલ સેન્ટર્સ પર આયોજિત ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવી હતી. આમાં 42 સોફ્ટવેર અને 18 હાર્ડવેર નોડલ સેન્ટર્સ શામેલ છે. GTUના અમદાવાદ નોડલ સેન્ટરમાં 18 રાજ્યોમાંથી આવેલી 55 ટીમો, 330 વિદ્યાર્થીઓ અને 28 મેન્ટર્સ 11 રાષ્ટ્રીય પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કાર્ય કરી રહ્યા છે. GTU ઇકોસિસ્ટમમાંથી 18 ટીમો રાષ્ટ્રીય સ્તરે પસંદ થઈ છે અને તેમાંની એક ટીમ GTU ખાતે યોજાતા ફિનાલેમાં સ્પર્ધા કરી રહી છે. SIH 2024ની સરખામણીએ આ વર્ષે ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સંસ્થાઓની ભાગીદારીમાં 15.13 ટકાની વૃદ્ધિ, ટીમ રજિસ્ટ્રેશનમાં 61.77 ટકાની વૃદ્ધિ, વિદ્યાર્થી ભાગીદારીમાં 67.69 ટકાની વૃદ્ધિ, મહિલા ભાગીદારીમાં 75.38 ટકાની વૃદ્ધિ અને રાષ્ટ્રીય નામાંકનમાં 37.83 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. GTUના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન 830 કરોડથી વધુGTUએ અત્યાર સુધીમાં 840થી વધુ સ્ટાર્ટઅપ્સનું સંવર્ધન કર્યું છે. 4,129 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને ટેકો આપ્યો છે. 27 કરોડની ફંડિંગ સુવિધા પ્રદાન કરી છે. 171 કરોડથી વધુનું આવક સર્જાયું છે અને 4,850થી વધુ રોજગારનું સર્જન કર્યું છે. 287 પેટેન્ટ્સ નોંધાયા છે અને GTUના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન 830 કરોડથી વધુ છે. SIHમાંથી ઉભરતાં વિચારો રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઉકેલો બન્યાકુલપતિ ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન માત્ર સ્પર્ધા નથી. તે યુવાનોને જવાબદાર અને સર્જનાત્મક ઇનોવેટર્સ બનાવતી એક યાત્રા છે. તેમના મત મુજબ, SIHમાં ભાગ લેતો દરેક વિદ્યાર્થી વિકસિત ભારત 2047ના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને નિર્ભય વિચારો, જવાબદારીપૂર્વક ઇનોવેશન કરો, સાર્થક સહકાર આપો અને દેશ માટે ઉપયોગી એવા ઉકેલો વિકસાવવા પ્રોત્સાહિત કર્યા. તેમના શબ્દોએ વિદ્યાર્થીઓમાં આશા, ઉત્સાહ અને જવાબદારીની ભાવના જગાવી. GTU માને છે કે SIHએ વિદ્યાર્થીઓમાં પ્રોબ્લેમ સોલ્ડિંગ, ટેક્નિકલ સ્કિલ્સ, ઇન્ડસ્ટ્રી કનેક્શન, મેન્ટરશિપ અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. SIHમાંથી ઉભરતાં ઘણા વિચારો પ્રોટોટાઇપ, પેટેન્ટ અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઉકેલો બન્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:14 pm

યુવાન પાસેથી ખંડણી માંગી કરાયો હુમલો:રેતીના વેપારીને ઉધારના ₹ 70 હજાર સામે ₹ અઢી લાખની ખંડણી માંગી,જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપાઈ ધમકી

જૂનાગઢના એક રેતી સપ્લાયર વેપારીને જૂના કામકાજના હિસાબ પેટે લેવાના થતા રૂ. 70,000 સામે આરોપીઓએ પૂર્વ આયોજન કરીને રૂ. 2,50 લાખની ખંડણી માંગી હોવાનો અને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ખંડણી, ધમકી, હુમલો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ​ટીંબાવાડી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય રોહિતભાઈ ગોવિંદભાઈ મિયાત્રા જે રેતી સપ્લાયનો વ્યવસાય કરે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે જુલાઈથી ઓક્ટોબર 2025 દરમિયાન તેમની સાથે ડમ્પરના ફેરા કરનાર ઉદેપુરના બોડેલીના સાગર ભગવાનજીભાઈ સોઢીયા આહીરના તેમના તરફ રૂ. 70.000 લેવાના નીકળતા હતા આ બાબતે હિસાબની સમજાવટ છતાં સાગરભાઈ સતત ફોન કરીને ધમકીઓ આપતા હતા.સાગરે ફોન કરીને હિસાબમાં રૂ. અઢી લાખ આપવાના થાય છે તેવી ધમકી આપી હતી અને પૈસા નહીં આપવા બદલ જૂનાગઢ આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ​ત્યારબાદ તા.03/12/2025 ના માળીયા રહેતા અજયભાઈ કાગડા નામના વ્યક્તિએ રોહિતભાઈને રેતીના કામનું બહાનું આપીને મળવા બોલાવ્યા હતા.અને 04/12/2025 ના રોજ મોતી પેલેસ પાસે મુલાકાત પણ થઈ હતી.પરંતુ તા.05/12/2025 ના બપોરે રોહિતભાઈ તેમના મિત્ર સુલેમાનભાઈ હાલા સાથે ઝાંઝરડા ચોકડી પર એવરસાઈન કોમ્પ્લેક્સમાં અજયભાઈના કહેવા મુજબ પહોંચ્યા ત્યારે ત્યાં કારૂભાઈ કરેણા સહિત અન્ય ચાર લોકો હાજર હતા. ​ઓફિસમાં ધંધાની વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક સાગરભાઈ સોઢીયા ત્યાં આવી પહોંચ્યો અને રોહિતભાઈને બે-ત્રણ ઝાપટ મારી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા. જ્યારે રોહિતભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડી, ત્યારે સાગરભાઈએ તેમને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો બોલીને ધમકી આપી. રોહિતભાઈ જ્યારે ફોન કરવા ગયા ત્યારે કારૂભાઈ કરેણાએ તેમનો ફોન છીનવી લીધો અને ગાળો બોલવા લાગ્યા. આસપાસના લોકો ભેગા થતાં સાગરભાઈ અને કારૂભાઈ કાળા કલરની હ્યુન્ડાઈ ઓરા કારમાં બેસીને જતાં રહ્યા હતા. ​આ ઘટના બાદ રોહિતભાઈએ સાગરભાઈ ભગવાનજીભાઈ સોઢીયા આહિર (રહે. બોડેલી), કારૂભાઈ કરેણા (અપંગ વ્યક્તિ) અને અજયભાઈ કાગડા (રહે. માળિયા) વિરુદ્ધ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ મુખ્યત્વે આઈપીસી (IPC)ની કલમ 323, 504 ,506(2) 120(બી) અને 387 તેમજ એટ્રોસિટી અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:01 pm

સુરેન્દ્રનગરમાં કસ્ટોડિયલ ડેથ કેસ મામલે પરિવારના પોલીસ પર આક્ષેપ:માતાએ કહ્યું- 'મારા લાડકાને મારી નાખ્યો', કાકા બોલ્યા- '15 ફૂટ ઊંચી બારીએ શર્ટ વડે ફાંસો ન ખાઈ શકે'

બે દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડાના બાઈક ચોરીના કેસમાં LCB દ્વારા એક યુવકને પૂછપરછ માટે કચેરીમાં લઈ જવાયો હતો. જે યુવાને કચેરીના શૌચાલયમાં જ ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં હડકમ્પ મચી ગયો હતો. ત્યારે દિવ્યભાસ્કરની ટીમે ઝીંઝુવાડા ગામમાં રહેતા મૃતક યુવકના પરિવારજનોની મુલાકાત લીધી હતી. જ્યા પરિવારજનોમાં આ ઘટનાને પગલે આક્રોશ જોવા મળ્યો હતો. ચોંધાર આંસુએ રડતા રડતા પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કરી ન્યાયની માગ કરી હતી. દિવ્યભાસ્કરની ટીમે ઝીંઝુવાડા ગામે રૂબરૂ જઈ અને આ પીડિત પરિવારની મુલાકાત લીધી ત્યારે યુવકની માતા કૈલાશબા ઝાલાએ રડતા રડતા જણાવ્યું હતું કે, મારા લાડકા દીકરાને એ લોકો રાત્રે લઇ ગયા હતા, અને એને મારી નાખ્યો છે, ગમે તેમ કરીને દીકરાને પાછો લાવો. અમે ફરી એસપીને રજૂઆત કરીશુંઃ મૃતકના કાકાઆ અંગે મૃતક ગજેન્દ્રસિંહ ઝાલાના કાકા બાબુભા શાંતુભા ઝાલાએ જણાવ્યું હતું કે, મારા ભાઈના દીકરાને એલસીબી લઇ ગયા બાદ આ બનાવ બનતા અમે સુરેન્દ્રનગર દોડી ગયા હતા. જ્યાં આ બનાવ બન્યો એ જગ્યાએ 15 ફૂટ ઊંચી બારીએ એને ગળેફાંસો ખાધો હોવાનું જણાવતા એ અમારા માન્યમાં આવતું નથી, આ બાબતે અમે સુરેન્દ્રનગર એસપી સાહેબને એક વખત રજૂઆત કરીને આવ્યા છીએ, અને ફરી રજૂઆત માટે સુરેન્દ્રનગર જવાના છીએ. 'એસપી સાહેબ જોડે અમને ન્યાયની અપેક્ષા છે'મૃતક યુવાનના કૌટુંબિક ભાઈ મહેન્દ્રસિંહ ઝાલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મારા ભાઈ ગજેન્દ્રસિંહને એલસીબી સ્ટાફ રાત્રે ઉઠાડીને પુછપરછ માટે લઇ ગઈ હતી, અને તપાસમાં પોલીસ વિભાગની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે, એનો અમારે ન્યાય જોઈએ. બાથરૂમમાં 15 ફૂટ ઉચી બારીએથી એ પોતાના શર્ટ વડે ફાંસો ખાઈ જ ના શકે એસપી સાહેબ જોડે અમને ન્યાયની અપેક્ષા છે. એસપી સાહેબે અમને ન્યાયીક તપાસની બાયેંધરી આપી છે. ગઈકાલે અમારા ભાઈની ગામમાં અંતિમ વિધી કર્યા બાદ ફરી અમે સૌ પરિવારજનો ફરી સુરેન્દ્રનગર એસપી સાહેબને મળવા જઈએ છીએ. ન્યાયીક તપાસની બાયેંધરી બાદ લાશનો સ્વીકાર કર્યોવધુમાં જણાવ્યું કે, આ બનાવ બન્યા પછી પણ પોલીસ વિભાગ દ્વારા અમને ત્રણથી ચાર કલાક સુધી જાણ સુદ્ધા કરી નહોતી. બાદમાં મારા ભાઈનું પેનલ પીએમ રાજકોટ કરાવવામાં આવ્યું હતું. અમે લાશનો સ્વીકાર કર્યો નહોતો, પણ એસપી સાહેબે આ કેસમાં ન્યાયીક તપાસની બાયેંધરી આપતા અમે લાશનો સ્વીકાર કરી ગામમાં ભારે હૈયે એની અંતિમ વિધી કરી હતી. આ અંગે મૃતક યુવાનની બહેન હેતલબા ઝાલાએ જણાવ્યું કે, બુધવારે રાત્રે એલસીબીવાળા મારા ભાઈને પાછો મૂકી જઈશું એમ કહીને લઇ ગયા હતા અને પછી મારા પપ્પાને મળવા બોલાવ્યા અને પછી શું ઘટના બની એની અમને કઈ જ ખબર ના પડી, પછી મારો ભાઈ પાછો ઘેર આવ્યો જ નહીં, અમારે મારા ભાઈ માટે સાચો ન્યાય જોઈએ, મારા મમ્મી-પપ્પા અત્યારે સાવ એકલા થઇ ગયા છે. બસ અમારે આનો સાચો ન્યાય જોઈએ. આ અંગે મૃતક યુવાનના પિતા વિનુભા ઝાલાએ આંખોમાં ઝણઝણીયા સાથે જણાવ્યું કે, મારો દિકરો રાત્રે ઘેર સૂતો હતો, ત્યારે દશરથભાઈ રબારી પોલીસવાળા એને ઘેરથી લઇ ગયા હતા. હવે અમે બંને એકલા થઇ ગયા છીએ, હવે અમારે એનો ન્યાય જોઈએ. હું હાલમાં કોલસા પાડીને મજૂરી કામ કરું છું, હવે અમારું કોઈ રણીધણી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશેઃ પોલીસઆ અંગે આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.પુવારે જણાવ્યું કે આ કેસમાં ગળેફાંસો ખાવાથી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, બાકી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે. શું હતો સમગ્ર બનાવ?સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝીંઝુવાડાથી બાઈક ચોરીના ગુનામાં પૂછપરછ માટે લવાયેલા યુવાને એલસીબી કચેરીમાં શૌચાલયમાં જ ગળેફાસો ખાઈ લીધો હતો. ત્રણ કે ચાર દિવસ અગાઉ સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફ આ 26 વર્ષનો યુવાન ગજેન્દ્રસિંહ ઝાલા ઘરમાં સૂતો હતો, ત્યારે ઘરેથી ઉઠાડીને લઇ ગઈ હતી. જે બાદ આ યુવાને એલસીબી કચેરીમાં આત્મહત્યા કરી હતી. જેથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ પહેલા આ યુવાનના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો નનૈયો ભણી દીધો હતો. પરિવાર છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છેગજેન્દ્રસિંહ ઝાલાના પિતા વિનુભા ઝાલા અને માતા કૈલાસબા ઝાલા છૂટક મજૂરી કામ એટલે કે, મીઠા મજૂરી અને લાકડા કાપવાનુ કામ કરી ગુજરાન ચલાવે છે, જયારે ગજેન્દ્રસિંહનો મોટો ભાઈ બકુભા વિનુભા ઝાલા પણ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. 2 ડિસેમ્બર મંગળવારે રાત્રે ગજેન્દ્રસિંહ ઝાલા પોતાના ઘેર સૂતો હતો. ત્યારે સુરેન્દ્રનગર એલસીબીનો સ્ટાફ બાઈક ચોરીના ગુનામાં એને ઉંઘમાંથી ઉઠાડીને લઇ ગયો હતો. ઝીંઝુવાડાનો ગજેન્દ્રસિંહ વિનુભા ઝાલા પણ છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. અંતિમ યાત્રામાં આખુ ગામ જોડાયુંઝીંઝુવાડાના યુવાનના કસ્ટોડીયલ ડેથ બાદ એસપીની હૈયાધારણા બાદ પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો. આ યુવાનની લાશને પેનલ પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવી હતી. ઝીંઝુવાડામાં પરિવારજનોએ ભારે હૈયે યુવાનની અંતિમ વિધી કરી હતી. અંતિમ યાત્રામાં આખુ ગામ જોડાયું હતું. પરિવારજનોએ રોક્ક્ડ અને આક્રન્દથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ પણ વાંચો-સુરેન્દ્રનગર LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આરોપીનો આપઘાત

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:53 pm

સોમનાથ મંદિરમાં માર્ગશીર્ષ આદ્રા નક્ષત્રે વિશેષ પૂજન:શતરુદ્રિય પાઠ અને દીપમાળાનું આયોજન, ભક્તો ઉમટ્યા

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં માર્ગશીર્ષ માસના પવિત્ર મહા આદ્રા નક્ષત્ર નિમિત્તે વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહાપૂજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. શાસ્ત્રો અનુસાર, માર્ગશીર્ષ માસમાં આવતા આદ્રા નક્ષત્રનું વિશેષ મહત્ત્વ છે. પૌરાણિક કથા મુજબ, આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ તેમના તેજોમય લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દિવસથી જ શિવના લિંગ સ્વરૂપની પૂજાનો આરંભ થયો હતો. પ્રથમ જ્યોતિર્લિંગની પાવન ભૂમિ પ્રભાસ ખાતે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. શિવ આરાધના, પંચાક્ષર સ્તોત્રનું પઠન અને દીપ જ્યોતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ પવિત્ર દિવસે, શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા યોજાઈ હતી. પરંપરાગત વિધિ મુજબ, ભગવાનને પવિત્ર દ્રવ્યો અને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, વૈદિક મંત્રોચ્ચાર સાથે શતરુદ્રિય અભિષેક સંપન્ન થયો હતો. આ શતરુદ્રિય પાઠ દ્વારા દેવાધિદેવ મહાદેવ સમક્ષ સમગ્ર વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરીને શિવ પૂજા-અર્ચના, આરતી કરી પ્રસાદી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મહા આદ્રા નક્ષત્રના આ શુભ દિવસે, શ્રદ્ધાળુઓએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક, ગંગાજળ અભિષેક, બિલ્વ પૂજા અને મહામૃત્યુંજય જાપ સહિતના પૂજનોનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:45 pm

સિક્યુરિટી ગાર્ડનું ATM બદલી 55 હજાર ઉપાડી લીધા:વડોદરામાં ગઠિયાએ મિની સ્ટેટમેન્ટ કાઢતી સમયે પાસવર્ડ જાણી ખેલ પાડ્યો, મોબાઈલ મેસેજ આવતા ઠગાઈની જાણ થઈ

વડોદરા શહેરના છાણી રોડના એટીએમ સેન્ટરમાં કાર્ડથી પૈસા ઉપાડવા ગયેલા સિક્યુરિટી ગાર્ડે એટીએમ મશીનમાંથી કાઢવાનું શરૂ કર્યું, ત્યારે બાજુમાં ઉભેલા ગઠિયાએ સિફતપૂર્વક એટીએમ કાર્ડ ચોરી બીજું કાર્ડ નાખી દઈને જાણી લીધેલા પાસવર્ડ અને ચોરી કરેલા એટીએમ કાર્ડના સહારે જુદા જુદા સેન્ટરો પરથી કુલ રૂપિયા 55,554 ઉપાડી લઈને ઠગાઈ કરી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મિની સ્ટેટમેન્ટ સમયે પાસવર્ડ જાણી લીધા બાદ ઠગાઈ કરીઉલ્લેખનીય છે કે નવાયાર્ડ વિસ્તારમાં જુની રામવાડી ખાતે રહેતા સિક્યુરિટીમાં નોકરી કરતા 58 વર્ષનાનટુભાઈ મણીભાઈ પરમાર એ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ઘરેથી SBIનું એટીએમ કાર્ડ લઈને છાણી રોડના SBI એટીએમ સેન્ટર ખાતે સવારે પૈસા ઉપાડવા ગયો હતો, ત્યારે એટીએમમાંથી તેમણે મીની સ્ટેટમેન્ટ કાઢ્યું હતું, ત્યારે બાજુમાં 20થી 25 વર્ષનો અજાણ્યો યુવક બાજુમાં ઊભો હતો. આ યુવકે મીની સ્ટેટમેન્ટ કાઢતી વખતે સિફત પૂર્વક નટુભાઈ પરમારનું એટીએમ કાર્ડ ચોરી લીધું હતું અને પોતાની પાસે છુપાવેલું એટીએમ કાર્ડ મશીનમાં નાખી દીધું હતું. સ્ટેટમેન્ટ કાઢતી વખતેથી વખતે ગઠીયાએ પાસવર્ડ પણ જાણી લીધો હતો. જ્યારે નટુભાઈએ પોતાના એટીએમનો પાસવર્ડ નાખતા મશીન દ્વારા પાસવર્ડ ખોટો હોવાનું જણાવ્યું હતું. પરિણામે સિક્યુરિટી ગાર્ડે કેવાયસી બાકી હોવાથી મશીન આમ જણાવતો હોવાનું માનીને મશીનમાંથી એટીએમ કાર્ડ કાઢી ઘરે પરત ગયા હતા. મોબાઈલ પર મેસેજ આવતા છેતરપિંડીની જાણ થઈઘરે પહોંચતા જ મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો કે, જુદા જુદા એટીએમ સેન્ટરમાંથી રૂપિયા 55,554 ઉપડી ગયા છે. આ બનાવ અંગે નટુભાઈ પરમારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:37 pm

VIDEO : 33 બાળકો સહિત 50ના મોત... સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો

Sudan Paramilitary Forces Attack On Kindergarten : સુદાનમાં અર્ધલશ્કરી દળો રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) અને બળવો કરનાર સુદાનિસ આર્મ્ડ ફોર્સિસ (SAF) વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધમાં રોજબરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે. તાજેતરની ઘટનાની વાત કરીએ તો આરએસએફે નાના બાળકોની શાળા પર ડ્રોનથી હુમલો કર્યા બાદ ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી પૈરામેડિકલ ટીમ પર પણ હુમલો કર્યો છે. આ ઘટનામાં 33 માસૂમ બાળકો સહિત 50 લોકોએ જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં એસએએફે બોર્ડર પર હુમલા કરનાર અનેક ટ્રકોમાં ભયાનક આગ લાગી ગઈ છે. મદદે પહોંચેલી પૈરામેડિકલ ટીમ પર પણ હુમલો

ગુજરાત સમાચાર 6 Dec 2025 7:20 pm

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા, આવું કરનારો ચોથો ભારતીય બન્યો

Rohit Sharma News: દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે દરમિયાન ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂર્ણ કર્યા છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર ચોથા ભારતીય ખેલાડી બન્યો. અગાઉ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.

ગુજરાત સમાચાર 6 Dec 2025 7:16 pm

મૃતદેહ સામે જ 'દારૂના અડ્ડા બંધ કરો'ના નારા લાગ્યા:દારૂના સેવનથી યુવકનું મોત થતાં લોકોમાં રોષ, માએ રડતાં રડતાં કહ્યું-'ખુલ્લેઆમ મળતા દારૂએ બરબાદ કરી નાખ્યા'

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે ફરી એકવાર દારૂના દુષણ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આક્ષેપ છે કે પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા 32 વર્ષીય યુવાન સુનિલ રમેશ સોનવણેનું દારૂના અતિશય વ્યસનના કારણે મોત નીપજ્યું છે. જોકે, આ ઘટના માત્ર એક મોત બનીને રહી નથી, પરંતુ સમગ્ર વિસ્તારના લોકોના દબાયેલા રોષને જ્વાળામુખીની જેમ બહાર લાવી છે. સુનિલના પાર્થિવ દેહની સામે જ સ્થાનિક લોકોએ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. વધુ પડતા દારૂના સેવનને કારણે યુવકની બંને કિડનીઓ ફેલ થઈ ગઈનાગસેન નગરનો રહેવાસી સુનિલ રમેશ સોનવણે (ઉ.વ. 32) છેલ્લા કેટલાક સમયથી દારૂના વ્યસનની લપેટમાં આવી ગયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, દારૂની લતને કારણે તેની તબિયત સતત લથડતી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વધુ પડતા દારૂના સેવનને કારણે તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી. તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન સુનિલનું કરુણ મોત નીપજ્યું હતું. ભરજુવાનીમાં દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતદેહની સામે જ 'દારૂ કા અડ્ડા બંધ કરો' ના નારા લગાવ્યાસામાન્ય રીતે કોઈના મૃત્યુ બાદ સ્મશાનયાત્રામાં શોકનું મોજું હોય છે, પરંતુ સુનિલના કિસ્સામાં શોકની સાથે ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો. જ્યારે સુનિલનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોએ સુનિલના મૃતદેહની સામે જ 'દારૂ કા અડ્ડા બંધ કરો' ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય પ્રશાસન અને પોલીસ માટે શરમજનક હતું કે જ્યાં એક યુવાનનું શબ પડ્યું છે, ત્યાં લોકોએ ન્યાય અને દારૂબંધી માટે બૂમો પાડવી પડી રહી છે. એક જ પરિવારના બે ભાઈઓના મોતનું દર્દનાક બેનરવિરોધ પ્રદર્શનમાં સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે લોકોના હાથમાં એક જૂનું બેનર જોવા મળ્યું. આ બેનર માત્ર કાગળનો ટુકડો ન હતો, પરંતુ એક માતાની વેદનાનો દસ્તાવેજ હતો. અગાઉ આ જ વિસ્તારમાં દારૂના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓના મોત થયા હતા. મૃતદેહ સામે રહેલા આ બેનરમાં એક લાચાર માતાની વ્યથા લખેલી હતી: 'મારા બે પુત્રો હતા, જે આજે દારૂના કારણે મૃત્યુ પામ્યા છે. જેના કારણે મારી બંને પુત્રવધૂઓ વિધવા થઈ છે. બંનેના બે-બે સંતાનો હતા, જે આજે નિરાધાર બન્યા છે. આજે મારા પરિવારમાં કમાવવા વાળું કોઈ નથી. હું ઈચ્છું છું કે મારા ઘર જેવી પરિસ્થિતિ અન્ય કોઈના ઘરમાં ન થાય, તેથી આ વિસ્તારમાં દારૂનું વેચાણ તાત્કાલિક બંધ થાય.' આ બેનર સાથે ઉભેલા લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, દારૂના આ દુષણે અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. નાના બાળકોના માથેથી પિતાનું છત્ર છીનવાઈ રહ્યું છે અને પત્નીઓ વિધવા બની રહી છે. સ્થાનિક મહિલાઓનો હુંકારવિરોધમાં જોડાયેલા અન્ય એક સ્થાનિક મહિલા રમાબેન આનંદભાઈ આહિરે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, 'અમારા વિસ્તારમાં બીજી કોઈ સમસ્યા નથી, માત્ર અને માત્ર દારૂની જ સમસ્યા છે. આ દારૂના રાક્ષસે મારા પતિનો પણ ભોગ લીધો છે. મારા પતિનું અવસાન પણ દારૂના કારણે જ થયું હતું. અહીં ગલીએ ગલીએ દેશી અને વિદેશી દારૂનું વેચાણ થાય છે, જેના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. પોલીસ અને તંત્ર ક્યાં છે?'

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:11 pm

મંદિર પાસેથી 459 ગ્રામ ગાંજાનો જથ્થા સાથે એક ઝડપાયો:વડોદરા પોલીસે છેલ્લા 24 દિવસમાં NDPS 17 ગુના નોંધ્યા, 41 લાખના મુદ્દામાલ સાથે 21ની ધરપકડ

વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ ગોરવા વિસ્તારમાં વિમલેશ્વર મહાદેવ મંદિર પાસે રેડ પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના 459 ગ્રામ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 1,19,30પીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે, મથુરનગરથી નવાયાર્ડ જતા બ્રિજ પાસે મહાદેવ મંદિરની બાજુમાં કાળા રંગનું સ્કૂટર પાર્ક કરીને રાજેન્દ્રકુમાર ઉર્ફે છોટુ બિન્દ નામનો ઇસમ દરરોજ સાંજના સમયે ગાંજાનું છૂટક વેચાણ કરે છે.આ બાતમીના આધારે SOG પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે તુરંત રેડ પાડીને આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે છોટુ ભારતલાલ બિન્દ (ઉ.વ. 29, રહે. ઋષિનગર, ગીરખનાથ મંદિર પાસે, ગોરવા, મૂળ રહે. ચકોલીયા ગામ, તા. કુલપુર, જિ. પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ)ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 22,950 રૂપિયાની કિંમતનો 459 ગ્રામ ગાંજો, એક્ટિવા, એક મોબાઇલ, તેમજ ગાંજા વેચાણની રોકડ રૂ. 1350 મળી કુલ રૂ. 1,19,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર એક અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. છેલ્લા 24 દિવસમાં વડોદરા પોલીસની મોટી કાર્યવાહીવડોદરા શહેર પોલીસે છેલ્લા 24 દિવસમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે NDPS એક્ટ હેઠળ કુલ 17 ગુના નોંધ્યા છે. આ કાર્યવાહીમાં 20 કિલો 685 ગ્રામ ગાંજો તથા હાઇબ્રિડ ગાંજો, 73 ગ્રામ મેફેડ્રોન, 2 કિલો અફીણ સહિત કુલ રૂ. 41.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 21 આરોપીઓની ધરપકડ કરી છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 36 ગુના નોંધાયાવર્ષ 2025 દરમિયાન NDPS એક્ટ હેઠળ કુલ 36 ગુના નોંધાયા છે. આમાં 317 કિલોથી વધુ ગાંજો, મેફેડ્રોન, અફીણ, કફ સિરપ, ટ્રામાડોલ-આલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સ સહિત કુલ રૂ. 1.97 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 61 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નશીલા પદાર્થોના વ્યાપાર સાથે સંકળાયેલા 6 આરોપીઓ વિરુદ્ધ PIT એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:11 pm

શિવા ટકલાની પીશાચી મર્ડર સ્ટાઈલ, હત્યા પહેલા મૃતકોના વાળ-ભ્રમર કાપ્યા:સુરતમાં 20 હજાર માટે ત્રણ મિત્રોનું અપહરણ, બુટલેગરે તાલિબાની અત્યાચાર ગુજાર્યો

સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગર શિવા ટકલાની માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. માત્ર ₹20 હજારની ઉઘરાણી માટે તેણે ત્રણ મિત્રોનું અપહરણ કરી લાકડાના ફટકા, લોખંડના સળિયા, લાતો-બુટથી ઢોરમાર માર માર્યો અને “કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ”ની ધમકી આપીને અડધા વાળ, મૂછ અને એક આંખની ભ્રમર અસ્તરાથી કાપી વિકૃત પિશાચી આનંદ લીધો. આ અમાનુષી અત્યાચાર સહન ન થતાં 22 વર્ષીય સોએબ શેખનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે નાઝીમની લાશ મહારાષ્ટ્ર બોર્ડર પરથી મળી. નાઝીમની શિવા ટકલા સાથે પૈસા મામલે જૂની માથાકૂટઆ ઘટનામાં બચી ગયેલા ઈર્શાદે પોલીસને વિગત આપતા જણાવ્યું કે, 1લી ડિસેમ્બરના રોજ લિંબાયતના ગોવિંદ નગરમાં રહેતા ઈર્શાદ ઉર્ફે કાણિયો, નાઝીમ ઉર્ફે ભાંજા સાદીક અને સોએબ ફિરોજ ચાંદ શેખ મારુતિ નગરમાં બેઠા હતા. નાઝીમની શિવા ટકલા સાથે પૈસા બાબતે કોઈ જૂની માથાકૂટ ચાલતી હતી. આ મામલે વાતચીત કરવા માટે ત્રણેય મિત્રો ગોડાદરાના લક્ષ્મણ નગર ગયા હતા. જોકે, ત્યાં વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. આ વાતચીત બાદ શિવા ટકલાએ પોતાના સાગરીતો સાથે મળીને ત્રણેય મિત્રોનું અપહરણ કરી લીધું હતું અને તેમને કેપિટલ સ્ક્વેર ખાતે લઈ ગયો હતો. લોખંડના સળિયા અને લાતોથી ઢોરમાર માર્યો અહીં શિવા ટકલા ઉપરાંત નામચીન બુટલેગર રાજુ શીલાનો પુત્ર મેહુલ, બિપીન ગડરીયો, તાજીબ, અમિત અને સની કાલીયા જેવા લુખ્ખા તત્વો હાજર હતા. હત્યારાઓએ ત્રણેય યુવાનોને ચોમેર તરફથી ઘેરી લીધા હતા. ત્યારબાદ લાકડાના ફટકા, લોખંડના સળિયા, લાતો અને બુટથી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો પરંતુ, શિવા ટકલાનો ગુસ્સો માત્ર માર મારવાથી શાંત થયો નહોતો. તેણે અને તેની ગેંગે ત્રણેય મિત્રોને ધમકી આપી હતી કે, તમને કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ. માથાના વાળ કાપી નાખી અમાનુષી અત્યાચાર ગુજાર્યોઆ ધમકી બાદ તેમણે બર્બરતાપૂર્વક ત્રણેય યુવાનોના માથાના અડધા વાળ અસ્તરાથી કાપી નાખ્યા હતા અડધો ટકો કર્યો હતો. આટલું ઓછું હોય તેમ, એક આંખ પરની ભ્રમર અને અડધી મૂછ પણ કાપી નાખી હતી. શરીરે અસંખ્ય ઘા અને લોહીલુહાણ હાલતમાં પણ તેઓ આ યુવાનોની મજાક ઉડાવતા રહ્યા હતા. આ અમાનુષી અત્યાચાર સહન ન થતા સોએબનું ઘટનાસ્થળે જ અથવા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોએબનું ઘટનાસ્થળે મોત તો નાઝીમને નંદુરબાર બોર્ડર પાસે ફેંકી દીધી જ્યારે નાઝીમ અને ઈર્શાદને તેઓ ગાડીમાં નાખીને મહારાષ્ટ્ર તરફ લઈ ગયા હતા. રસ્તામાં અત્યાચારના કારણે નાઝીમનું પણ મોત થતા તેની લાશને નંદુરબાર બોર્ડર પાસે ફેંકી દીધી હતી, જ્યારે ઈર્શાદને મરેલો સમજી અથવા ડરના માર્યે રસ્તામાં ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી શિવા ફરાર છે. માતા શકીલાનું હૈયાફાટ રુદન અને ગંભીર આક્ષેપમૃતક 22 વર્ષીય સોએબ ઉબેર ટેક્સી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સોએબની માતા શકીલાએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. અમ્મી, આ લોકો 20,000 રૂપિયા માંગી રહ્યા છેમાતા શકીલાએ જણાવ્યું હતું કે,મને પહેલા બીજા કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામે છેડે મારો દીકરો સોએબ વાત કરી રહ્યો હતો. તે ખૂબ ગભરાયેલો હતો. તેણે મને કહ્યું કે, 'અમ્મી, આ લોકો 20,000 રૂપિયા માંગી રહ્યા છે. જો પૈસા નહીં આપીએ તો મને ખૂબ તકલીફ આપશે, મને મારી નાખશે.' અમે ગરીબ માણસો છીએ, તાત્કાલિક આટલી રકમ એકત્ર કરવી અમારા માટે મુશ્કેલ હતી. અમે પૈસાની વ્યવસ્થા કરીએ તે પહેલા જ ફોન કપાઈ ગયો અને પછી મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. મારા દીકરાના શરીર પર એક પણ કપડું નહોતુંશકીલા બહેને વધુમાં ઉમેર્યું હતું કે,અમે લિંબાયત પોલીસ મથકમાં દીકરાના ગુમ થયાની ફરિયાદ કરવા ગયા હતા, ત્યારે જ સમાચાર મળ્યા કે તેનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે મેં મારા દીકરાની હાલત જોઈ ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા દીકરાના માથાના વચ્ચેથી વાળ કાપી નાખ્યા હતા, તેની આંખની ભ્રમર પણ કાપી નાખવામાં આવી હતી. તેના શરીર પર એક પણ કપડું નહોતું. નરાધમોએ તેને નિર્વસ્ત્ર કરીને માર્યો હતો. મારો દીકરો નિર્દોષ હતો, હું બસ મારા પુત્ર માટે ન્યાય માંગુ છું. આવા રાક્ષસોને કડકમાં કડક સજા થવી જોઈએ. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પણ આક્રોશ ઠાલવ્યોઆ ડબલ મર્ડરની ઘટના બાદ સુરતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પોલીસ તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને હેવાનોને ફાંસીની સજા આપવામાં આવેઅસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે,આ ઘટના સુરત માટે કલંકરૂપ અને હૃદયદ્રાવક છે. શિવા ટકલા કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે અગાઉ હોમગાર્ડની હત્યા કરી ચૂક્યો છે અને પોલીસ પર પણ હુમલા કરી ચૂક્યો છે. સવાલ એ થાય છે કે આવા રીઢા ગુનેગારને, જે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવે છે, તેને છૂટો દોર કોણે આપ્યો? આ ઘટના માટે જેટલો જવાબદાર શિવા યાદવ છે, તેટલી જ જવાબદાર સ્થાનિક પોલીસ પણ છે. જે વિસ્તારમાં તે દારૂ વેચતો હતો તે પોલીસ શું કરતી હતી? સુરતમાં કાયદાનો ડર રહ્યો નથી તે આ ઘટના સાબિત કરે છે. સોએબ અને નાઝીમની જે રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે, તે જોતા પોલીસ પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આવા હેવાનોને ફાંસીની સજા આપવામાં આવે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે મળીને અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર શિવાકાંત યાદવ ઉર્ફે શિવા ટકલાને ઉત્તર પ્રદેશ ફરાર છે. આ ઉપરાંત તેના સાગરીતો જાલમ કલાલ અને આસિફ મોતી શેખની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એક લાખ રૂપિયાની ઉઘરાણીમાં આ ખેલ ખેલાયો હતો, જેમાં બે નિર્દોષ મિત્રો સોએબ અને નાઝીમ પિસાઈ ગયા. હાલ પોલીસ આ ગુનામાં સામેલ અન્ય ફરાર આરોપીઓ મેહુલ, બિપીન અને અમિતને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:33 pm

પોરબંદરના ખેલાડીઓએ રાજ્ય કક્ષાની કુરાશ સ્પર્ધામાં 9 મેડલ જીત્યા:5 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

મહીસાગર જિલ્લામાં યોજાયેલી અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષાની કુરાશ રમત સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ડી.એલ.એસ.એસ. સાંદિપની ગુરુકુળમાં અભ્યાસ કરતા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર ખાતે તાલીમ મેળવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા આ ખેલાડીઓએ કુલ 9 મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં 5 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ખેલાડીઓના આ ઉત્તમ પ્રદર્શન બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનિષકુમાર જીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી ડૉ. પ્રવિણાબેન પાંડાવ, ડી.એલ.એસ.એસ. સાંદિપની ગુરુકુળના આચાર્ય કમલ મોઢા, શાળા પરિવાર તેમજ કોચ અક્ષય ચૌધરી અને ટ્રેનર ભરત જુંગી દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:26 pm

આંબેડકર નિર્વાણ દિવસે જગાણામાં પ્રિ-એડમિશન કાઉન્સેલિંગ:બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના પાલનપુર પ્રાદેશિક કેન્દ્ર દ્વારા 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે જગાણા ખાતેની એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં પ્રિ-એડમિશન કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતગાર કરવાનો હતો. 6 ડિસેમ્બર એ સમાજ સુધારક, વકીલ, અર્થશાસ્ત્રી અને ભારતના બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે. તેમણે ભારતને સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોનો માર્ગ દર્શાવ્યો હતો અને દલિતો, વંચિતો, સ્ત્રીઓ તથા પીડિત વર્ગોના શિક્ષણ માટે લડત આપી હતી. યુનિવર્સિટીના કુલગુરુ પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ ધ્યેયને સાર્થક કરી રહી છે. આ કાર્યક્રમની શરૂઆત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, જગાણાના આચાર્ય સંજયકુમાર મિશ્રા દ્વારા શાબ્દિક પરિચયથી કરવામાં આવી હતી. ત્યારબાદ પાલનપુર પ્રાદેશિક કેન્દ્રના ઇન્ચાર્જ અને ઇતિહાસ વિષયના અધ્યાપક ડૉ. સોનલ ચૌધરીએ દૂરવર્તી શિક્ષણમાં ઓપન યુનિવર્સિટી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પ્રણાલિકા વિશે માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ સર્ટિફિકેટ, ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમો વિશે માહિતગાર કર્યા હતા. ડૉ. સોનલે વિદ્યાર્થીઓને તેમના રસ મુજબ શિક્ષણ ચાલુ રાખીને ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે, પાલનપુર પ્રાદેશિક કેન્દ્રના સહાયક પ્રાદેશિક નિયામક ગોકુલભાઈ દેસાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આચાર્ય સંજયકુમાર મિશ્રાએ યુનિવર્સિટીની ટીમને શાળા અને કેમ્પસની મુલાકાત પણ કરાવી હતી. કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત આ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ અનુસૂચિત જનજાતિ સમુદાયના બાળકોને ખાનગી શાળાની જેમ જ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઇતર પ્રવૃત્તિઓ અને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. આચાર્ય અને શિક્ષકોની અથાગ મહેનતથી આ શાળા 'એકલવ્ય મોડેલ સ્કૂલ' પોતાના નામને સાર્થક કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:09 pm

ભાવનગરમાં લીલાં-સૂકાં ઘાસચારાનો ભાવ વધ્યો:ઘાસચારાની આવક ઘટવાથી માલધારીઓને પશુપાલન કરવું મુશ્કેલ બન્યું, સરકાર પશુપાલકોને રાહત આપે તેવી માગ

એકથી બે માસ પહેલા ભાવનગર જિલ્લામાં જે કમોસમી માવઠું થયું તેમાં અનેક પાકોને નુકશાન થયું જેમાં ઘાસચારાના પાકમાં પણ ઘણું નુકશાન થયું હતું જેને પગલે હાલ ભાવનગર શહેર તથા જિલ્લામાં હાલના સમયે લીલા અને સૂકા ઘાસચારાની આવક ઘટતા લીલા-સૂકા ઘાસચારમાં ભાવમાં વધારો થયો છે જેના કારણે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પશુપાલન કરવું આકરું થઈ પડ્યું છે સરકાર પશુપાલકોને રાહત આપે એવી માગ માલધારીઓ કરી રહ્યા છે. લીલાઘાસના 150 અને સૂકા ઘાસના 250 રૂપિયા થયાભાવનગર જિલ્લામાં ચોમાસા બાદ એક સપ્તાહ સુધી વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના વિસ્તારોમાં કરવામાં આવેલ ઘાસચારાનું વાવેતર નિષ્ફળ ગયું હતું. પરિણામે હાલમાં ભાવનગર શહેર જિલ્લામાં ઘાસચારાની તીવ્ર અછત ઊભી થઈ છે ઓછી આવક અને વધુ માંગ હોવાના કારણે લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેમાં લીલુઘાસ ગત વર્ષે 80 રૂપિયા મણ વેચાતું હતું તે આ વર્ષે 150 રૂપિયા વેચાઈ રહ્યું છે અને સૂકું ઘાસ જે ગત વર્ષે 150 રૂપિયા મણ વેચાતું હતું તે આ વર્ષે 250 રૂપિયા વહેંચાઇ રહ્યું છે. ઘાસચારાની આવક ઓછી હોવાના કારણે ઘાસચારાના ભાવ ભડકે બળ્યાંબીજી તરફ હાલમાં ઘાસચારાની આવક ઓછી હોવાના કારણે ઘાસચારાના ભાવ ભડકે બળ્યાં છે પશુચારાના ભાવોમાં વધારો થતા આ વધારાની સીધી જ અસર માલધારીઓ પર પડી રહી છે. આ અંગે બુધભાઈ ભરવાડએ જણાવ્યું હતું કે, અમે ઘાસચારા માટે રાતદિવસ આમથી આમ દોડીએ છીએ. ક્યાંય મેળ પડતો નથી. ભાવમાં અમારે કઈ પોગાતું નથી. દૂધના ભાવે પણ સરકારે એનાં એ જ રાખ્યા છે. કારણ કે 30થી 40 જેટલા માલ ઢોર છે, ક્યાં જવું? આમ મોંઘવારી કારણે પોગાવું કેવી રીતે? નિણમા એટલે ભાવ વધારો છે અને ઘાસમાં પણ એટલો વધારો છે. 'નિણમા અને ઘાસમાં ભાવ વધી ગયા, સરકાર કોઈ ધ્યાન દેતી નથી'તેને વધુમાં કહ્યું કે, લીલા ઘાસના ભાવ 80થી 150 રૂપિયા સુધી પહોંચ્યા છે અને સૂકા ઘાસના ભાવ 150 રૂપિયા હતા એ 250 રૂપિયા સુધી પહોંચ્યા છે. તો અમારે કરવાનું શું? સરકારને અપીલ એટલી કરવી છે કે અમારી સામે કંઈક જોવો અને થોડી ઘણી સુવિધા કરી દે. કારણ કે મુશ્કેલી એટલી આવી ગઈ છે કે એની કોઈ સીમા નથી. માલધારીને દૂધના ભાવ ત્યાંના ત્યાં જ છે, નિણમા અને ઘાસમાં ભાવ વધી ગયા છે. સરકાર કોઈ ધ્યાન દેતી નથી. 'થોડી ઘણી અમને રાહત થાય એવું કંઈક કરી દો'બુધભાઈ ભરવાડએ કહ્યું કે, સરકારને અમે અપીલ કરીએ છીએ કે થોડી ઘણી અમને રાહત થાય એવું કંઈક કરી દો. એટલી અમારી વિનંતી. મારે પોતાની પાસે 30થી 35 માલ ઢોર છે. પહેલા દરરોજ 30 થી 35 મણ ઘાસ જોતું હતું, અત્યારે 10થી 15 મણમાં રોડવીએ છીએ. એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે કંઈક રાહત આપો જેથી ભરવાડ સમાજ અને માલધારી સમાજને રાહત થાય. 'લીલું ઘાસ 80 રૂપિયાનું હતું હવે તે 150માં વેચાઈ છે'આ અંગે ઘાસચારો વેચનાર વેપારી સંજયભાઈએ જણાવ્યું હતું કે, હું 30થી 40 વર્ષથી ઘાસચારો વેચવાનો ધંધો કરું છું. અને અત્યારે વરસાદને, માવઠુને એ બધું થયું એના હિસાબે આ ભાવ વધારો છે. પહેલા અમે લીલું ઘાસ 80 રૂપિયા વેચતા હતા, અત્યારે અમે આ ઘાસને 150 રૂપિયા વેચીએ છીએ. સુકું ઘાસ અમે 250 રૂપિયા વેચીએ છીએ. આ બધું વરસાદના અને ખરાબ વાતાવરણના લીધે થયું છે. બધા માણસોને નુકસાન થયું છે. 'કમોસમી માવઠું થયું પછીથી ભાવ વધારો થયો'સંજયભાઈએ વધુમાં કહ્યું કે, અત્યારે અમારી પાસે ઘાસ લેવા કોઈ આવતું નથી. પહેલા બધા લેવા આવતા, એ બધા 500 રૂપિયાનું લઈ જતા. એ લોકો અત્યારે 150 રૂપિયાનું લઈ જાય છે. અત્યારે બધી મંદીના હિસાબે આ મોંઘવારી છે. ભાવ વધી ગયા છે. અત્યારે 150 રૂપિયા લીલું ઘાસ અને સુકું ઘાસનો ભાવ 250 રૂપિયા છે. આ છેલ્લે કમોસમી માવઠું થયું પછીથી ભાવ વધારો થયો છે. માલની આવક નથી. માલધારીને અત્યારે બિચારા ને માલ મળતો નથી અને નુકસાન થાય છે. અને ઢોરને પણ ખાવા મળતું નથી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:09 pm

અમરેલીમાં 9.04 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત:વિવિધ વિસ્તારોમાં ટ્રીમિક્સ સાથે સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ગાર્ડન સહિતની સુવિધાઓ બનશે

અમરેલી શહેરમાં રાજ્ય સરકારના રૂ. 904.49 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે આ કાર્યોનો પ્રારંભ થયો હતો. આ ખાતમુહૂર્ત સમારોહ અમરેલી શહેરના જેસીંગપરા અને લાઠી રોડ વિસ્તારમાં યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા અને નગરપાલિકાના પ્રમુખ બિપીન લિંબાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુપીડી-88) વર્ષ 2025-26 હેઠળ હાથ ધરવામાં આવશે. આ કાર્યોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રીમિક્સ સાથે સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, બોક્ષ કલ્વર્ટ, વીંગ વોલ, રીટેઈનીંગ વોલ, બોક્ષ ડ્રેઈન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, મેનહોલ ફ્રેમ કવર સાથે મજબુતીકરણ, ફૂટપાથ, ટ્રી-પ્લાન્ટેશન, ગ્રીલ, ગાર્ડન ડેવલપમેન્ટ, સ્ટ્રીટલાઇટ અને ડી.આઈ પાઇપલાઇનની કામગીરીનો સમાવેશ થાય છે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. તેમણે અમરેલીની શહેરી વિકાસ યાત્રાને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, શહેરના અગ્રણીઓ પી.પી. સોજિત્રા, મહામંત્રી મેહુલભાઈ ધોરાજિયા, સંદિપભાઈ માંગરોળીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, વોર્ડના સભ્યો, નગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:06 pm

પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરીંગ કેસમાં 5 વર્ષની સજા:અગાઉના કેસની સજાથી અલગ ભોગવવાની રહેશે,EDએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે

રાજ્યના પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં PMLA કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, સરકાર દ્વાર અધિકારીની જે સંપત્તિ ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે. પ્રદીપ શર્મા સામે વર્ષ 2016 અને 2018માં PMLA હેઠળ કેસ નોંધાયો હતોપ્રદીપ શર્મા જ્યારે કચ્છ કલેકટર હતા ત્યારે વેલસ્પન ગ્રુપની કંપનીને સસ્તામાં જમીન આપી સરકારને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. જેની સામે રાજકોટ CID ક્રાઈમ પોલીસ મથકમાં 2010માં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ PMLA કોર્ટમાં વર્ષ 2016માં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પ્રદીપ શર્માએ ભ્રષ્ટાચારના કોરોડ રૂપિયા પોતાની પત્ની અને અમેરિકામાં રહેતા દીકરા અને દીકરીના ખાતમાં મોકલ્યા હોવાનો આરોપ છે. અન્ય કેસમાં સજા ભોગવ્યા બાદ આ સજા ભોગવવાની રહેશેપ્રદીપ શર્મા સામે PMLA હેઠળ નોંધાયેલા કેસમાં સજાનું એલાન કરતા કોર્ટે કહ્યું છે કે, પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ આ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત ઈડીએ અધિકારીની જે પ્રોપર્ટી ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે. આઠ મહિના પહેલા ભુજ કોર્ટે પણ જમીન ફાળવણીના કેસમાં સજા ફટકારી હતીકચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા હતા. આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સોપાઇપ અસ લિમિટેડને સમાઘોઘા, મુંદ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ કલેકટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી. આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. એને લઇને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 1999 બેચના IAS અધિકારી હતા પ્રદીપ શર્મારસાયણશાસ્ત્રમાં સ્નાતક કરનારા પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1999માં આઇએએસ અધિકારી તરીકે બઢતી મળ્યા બાદ જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર રહ્યા હતા. ત્યાર બાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:03 pm

'મારી જોડે નઈ તો મારા પટાવાળા સાથે ડિબેટ કરો':મેવાણીએ ફરી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી, આજે પણ ઈન્ડિગોની 77થી વધુ ફ્લાઇટ કેન્સલ, યુવકે સાપને CPR આપી જીવ બચાવ્યો

આજે પણ ઈન્ડિગોની 75થી વધુ ફ્લાઇટ કેન્સલ આજે પણ ઈન્ડિગોની 75થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ. જેના કારણે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ NSUIના કાર્યકરોએ અમદાવાદ એરપોર્ટ પર વિરોધ નોંધાવ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો AI આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરાશે હવે એક્જ ક્લિક પર રાજ્ય સરકારના સરકારી દસ્તાવેજોની માહિતી મળશે. રાજ્ય સરકાર કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામાં અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા માટે AI આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પશુપાલકોની આવક 20 ટકાથી વધુ વધશેઃ શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વાવ-થરાદની મુલાકાત લીધી. જ્યાં તેમણે બનાસ ડેરીના અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે કહ્યું કે,આવનાર 5 વર્ષમાં પશુપાલકોની આવક 20 ટકાથી વધુ વધશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જીગ્નેશ મેવાણીએ ફરી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી પાલનપુરથી ફરી જીગ્નેશ મેવાણીની હર્ષ સંઘવીને ચેલેન્જ આપી. સંઘવીની વડગામ મુલાકાત પર તેમણે કહ્યું કે તેઓ વડગામ આવ્યા પણ દારૂ બંધ કરાવવાનું વચન ન આપ્યું'. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાત વિધાપીઠ ખાતે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ યોજાયો અમદાવાદની ગુજરાત વિધાપીઠ ખાતે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું. જેમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સનાતનનું અપમાન ન સાંખી લેવા સંકલ્પ લેવડાવ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુભાષબ્રિજ નીચે મોટી તિરાડ જોવા મળી સુભાષબ્રિજના એક સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ બ્રિજ નીચેની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં બ્રિજ નીચે તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે.તપાસ ટીમ હાલ તપાસ કરી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો યુવકે સાપને CPR આપી નવજીવન આપ્યું વલસાડ જિલ્લાના પારડીમાં એક જીવદયા પ્રેમી યુવકે અત્યંત ઝેરી સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન આપ્યું. સાપને લાકડાનો માર વાગાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગાંધીનગરમાં Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસ ભારતીય ડાક વિભાગે ગાંધીનગર IIT ખાતે ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસ બનાવી.જેમાં Wi-Fi, કાફેટેરિયા અને મિની લાઈબ્રેરી જેવી અનેક આધુનિક સુવિધાઓ છે. જેનો ઉદ્દેશ્ય યુવાપેઢીને પોસ્ટ ઓફિસ સાથે જોડવાનો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કેજરીવાલ રવિવારથી ત્રણ દિવસ રાજકોટની મુલાકાતે અરવિંદ કેજરીવાલ રવિવારથી ત્રણ દિવસ રાજકોટની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ જેલમાં બંધ આપના નેતાઓ સાથે મુલાકાત કરશે.સાથે જ આત્મહત્યા કરી લેનાર કોટડા સાંગાણીના ખેડૂતના પરિવારને પણ મળશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટમાં સૂર્યકિરણ ટીમનો એર શો યોજાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન સૂર્યકિરણ ટીમનો એર શો સાથે 'આકાશગંગા'નાં જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:55 pm

બાબાસાહેબ આંબેડકરને પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ:પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ અને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પી

ભારતીય બંધારણના ઘડવૈયા, મહામાનવ બાબાસાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવાયો હતો. આ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. બાબાસાહેબની ૬૯મી પુણ્યતિથિ નિમિત્તે પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા પોલીસવડાની કચેરી નજીક આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને તે બાબાસાહેબે ઘડેલા બંધારણને કારણે ચાલે છે. જોકે, આગેવાનોએ આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશમાંથી અસ્પૃશ્યતા સંપૂર્ણપણે દૂર ન થઈ હોવા અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને આ મુદ્દે આકરી ટકોર કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:45 pm

રાણા વડવાળામાં નંદીના પગ ભાંગ્યા:અજાણ્યા શખ્સે હુમલો કર્યો, જીવદયા ગ્રુપે સારવાર કરાવી

પોરબંદર જિલ્લાના રાણા વડવાળા ગામે એક નંદી પર અજાણ્યા શખ્સે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં નંદીના પાછળના બંને પગ ગંભીર રીતે ભાંગી નાખવામાં આવ્યા હતા. ઘાયલ નંદીને રાણાવાવ જીવદયા ગ્રુપ અને વનખંડી ગૌશાળા (કિરીટભાઈ વીસાણા ગ્રુપ) દ્વારા બચાવવામાં આવ્યો હતો. સંસ્થાઓ દ્વારા નંદીને તાત્કાલિક સારવાર માટે વનખંડી ગૌશાળામાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:44 pm

કોડીનાર KVK દ્વારા જમીન આરોગ્ય દિવસની ઉજવણી:પ્રાકૃતિક ખેતી અને તેના આયામો વિશે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 1થી 5 ડિસેમ્બર દરમિયાન 'જમીન આરોગ્ય દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ ઉજવણીમાં ઉના તાલુકાના સોંદરડી ગામ અને કેશોદ તાલુકાના રંગપુર ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો. કુલ 100થી વધુ પ્રગતિશીલ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જમીન વિજ્ઞાન, પાક વિજ્ઞાન, પાક સંરક્ષણ અને બાગાયત વિષયના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ જમીનનું આરોગ્ય જાળવવા માટે જમીન ચકાસણીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જમીનમાં સેન્દ્રીય કાર્બન વધારવાના ઉપાયો, પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અપનાવી જમીનને સુરક્ષિત રાખવાના માર્ગો અને જમીન ચકાસણીના પરિણામોના આધારે ખાતરોના ઉપયોગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં આશરે 30 ખેડૂતોને જમીન આરોગ્ય પત્રકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જમીનના આરોગ્ય સુધારણાના અભિયાનના ભાગરૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:42 pm

મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે તત્કાલ ચિત્ર હરીફાઈ:રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસે 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક તત્કાલ ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રિટારડેડ' દ્વારા આ હરીફાઈ યોજાઈ હતી, જેમાં શહેરની 25 સંસ્થાઓના 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત, તેમના શિક્ષકો અને વાલીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હંસાબેન પટેલ, નયનાબેન મેવાડા અને દેવેન્દ્રભાઈ ખત્રી જજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ થીમ પર ચિત્રો દોર્યા હતા. દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ પાંચ ચિત્રોને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર દરેક બાળક માટે ભેટ અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ચિત્ર હરીફાઈનો મુખ્ય હેતુ મનોદિવ્યાંગજનોમાં રહેલી કલાત્મક ક્ષમતાઓને કલાના માધ્યમથી બહાર લાવવાનો હતો. 8 ડિસેમ્બરને રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય મનોદિવ્યાંગજનો માટે જાગૃતિ લાવવાનો અને તેમના કલ્યાણ માટે કાર્યક્રમો યોજવાનો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:36 pm

મંત્રી પ્રદ્યુમન વાજાએ કોડિનારમાં ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી:પાણી દરવાજા વિસ્તારમાં નાગરિકો સાથે લોકસંપર્ક પણ કર્યો

કોડિનાર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કોડિનાર આંબેડકર ચૉક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મંત્રી ડૉ. વાજા પાણી દરવાજા વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે મતવિસ્તારના નાગરિકો સાથે લોકસંપર્ક કર્યો હતો. લોકસંપર્ક દરમિયાન નાગરિકોએ તેમને વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નો અંગે મૌખિક અને લેખિત રજૂઆતો કરી હતી. મંત્રીએ આ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તમામ મુદ્દાઓમાં શક્ય તેટલી ઝડપથી નિવારણ લાવવા ખાતરી આપી હતી. આ પ્રસંગે કોડિનાર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ શિવા સોલંકી, અગ્રણીઓ સુભાષ ડોડિયા, ડૉ. શૈલેન્દ્ર વાઘેલા, ભગુ પરમાર સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:36 pm

‘અમે દારૂ નથી વેચતા, નડતા હોય તો મારી નાખો’:સુરતમાં રોજીરોટી છીનવાતાં મહિલાઓ રડી પડી; ‘મેં ભટ્ટસાહેબને માની ઉંમરની હોવાનું જણાવ્યું તો કહે, મારા બાપને બીજી બાયડીની જરૂર નથી’

‘અમે દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે, એમને પકડો. ત્યાંથી પૈસા મળે છે અને અમારી પાસેથી કશું નથી મળતું એટલે અમારો સામાન ઉઠાવી જાય છે. અમે દિવસના માંડ-માંડ 50 કે 100 રૂપિયા કમાઈને પેટ ભરીએ છીએ તો અમારો વાંક શું? જો અમે ગમતા ન હોય તો ગોળી મારીને મારી નાખો, આમ રોજ-રોજનું મરવા કરતા એક વાર મારી નાખો...’ આ વેદનાભર્યા શબ્દો છે સુરતમાં 60થી 65 વર્ષની એ વૃદ્ધ મહિલાઓના છે જેઓ રસ્તા પર બેસીને શાકભાજી વેચી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં તંત્રની કડક કાર્યવાહી અને અધિકારીઓના તોછડા વર્તનથી ત્રસ્ત થયેલી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું. આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ‘હું શું ત્યાં ભટ્ટ સાહેબની બાપની બાયડી બનવા ગઈ હતી?’એક વૃદ્ધ મહિલાએ ધ્રુજતા અવાજે અને રડતાં-રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, જ્યારે સાહેબો મારો સામાન જપ્ત કરી રહ્યા હતાં, ત્યારે હું કરગરી રહી હતી. મેં ભટ્ટ સાહેબને હાથ જોડીને કહ્યું કે, સાહેબ, હું તમારી માની ઉંમરની છું, મારી લાચારી સમજો. ત્યારે ભટ્ટ સાહેબે વળતા જવાબમાં મને હીન કક્ષાના શબ્દો સાંભળ્યા છે. શું ગરીબ હોવું એ અમારો ગુનો છે? ‘અમે કોઈ ટ્રાફિકને નડતરરૂપ નથી થતા’ધારાસભ્યને રજૂઆત કરવા આવેલી અન્ય મહિલાએ કહ્યું કે, છેલ્લા 10 દિવસથી અમારો ધંધો બંધ છે. ઘરમાં ખાવા માટે અનાજ નથી. અમારી પાસે કોઈ ગાડી નથી, કોઈ ટેમ્પો નથી. અમે કોઈ ટ્રાફિકને નડતરરૂપ નથી થતા, અમે તો સાઈડમાં બેસીએ છીએ, છતાં મ્યુનિસિપાલટીની ગાડી આવે છે, અમારો સામાન વેરવિખેર કરી નાખે છે અને જપ્ત કરીને લઈ જાય છે. અમે ચોરી નથી કરતા, મહેનત કરીએ છીએ. અમને જગ્યા આપે અને ધંધો કરવા દે. આ સાથે જ રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની કામગીરી પર આક્ષેપો કરતા જણાવ્યું કે, દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલે છે, તેઓને પકડો. તેઓ પાસેથી પૈસા મળે છે એટલે, અમારી પાસે કઈ ન મળે. અમે કઈ દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. એક પ્રશ્ન હલ કરવા જતા કોઈ સાથે અન્યાય ન થવો જોઈએઃ કાનાણી આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, ટ્રાફિકની સમસ્યા માટે દબાણ હટાવવું જરૂરી છે, પરંતુ તેની નિર્દોષ અને ગરીબ લોકો હેરાન ન થવા જોઈએ. વરાછામાં ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણનો પ્રશ્ન વિકટ છે, જે માટે મેં જ તંત્રને પત્ર લખ્યો હતો, પરંતુ મારો ઉદ્દેશ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માથાભારે દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાનો હતો. તેમણે ઉમેર્યું કે, જે વૃદ્ધ મહિલાઓ પોતાની જગ્યા પર બેસીને શાંતિથી વેપાર કરે છે, તેમનો સામાન જપ્ત કરવો અને તેમની સાથે અમાનવીય વર્તન કરવું યોગ્ય નથી. શું છે સમગ્ર મામલો?બનાવની વિગત એવી છે કે, વરાછામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન વરાછામાં રસ્તાની સાઈડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવાયો હતો. આ સમયે મહિલાઓએ પોતાના સામાન પરત આપવા માટે આજીજી કરી હતી. આ સમયે તંત્રના કર્મચારીઓએ માનવતા નેવે મૂકી દીધી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:34 pm

રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ લોકોને ખીચડી-છાશ વિતરણ:સાબરમતીના ગોકુલનગર આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો

રાહી ફાઉન્ડેશન દ્વારા સાબરમતીના ગોકુલનગર ખાતે ખીચડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ફાઉન્ડેશનના 204મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ લાભાર્થીઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, ઝૂંપડા પુનઃ વસન યોજના, ગોકુલનગર, સાબરમતી ખાતે રાખવામાં આવેલ હતો. મુખ્યત્વે શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓએ આ સેવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી તરીકે શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે યોગદાન આપ્યું હતું. આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ વ્યવસ્થાપનમાં સુંદર સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશભાઈ, કિંજલબેન, વસંતરાવ, વૃતાંત, માર્કણ્ડભાઈ અને વિજય દલાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:33 pm

LJ Integrated MBA વિદ્યાર્થીનો Abhivyakti 2025માં અભિનય:દિવ્ય મહેતાએ LJK યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું

LJK યુનિવર્સિટીના ઇન્ટિગ્રેટેડ MBA (5 વર્ષીય કાર્યક્રમ) ના વિદ્યાર્થી દિવ્ય મહેતાએ Abhivyakti અમદાવાદ 2025 ના મંચ પર ભાગ લીધો હતો. તેમણે પોતાના અભિનય દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ પ્રસ્તુતિ દરમિયાન, દિવ્યએ લાઇફ ઓફ લાલુ નામના નાટકમાં મિલો નામનું પાત્ર ભજવ્યું હતું. તેમણે તેમની સર્જનાત્મકતા, સંવાદ અભિવ્યક્તિ અને મંચ પરની અસરકારક હાજરી દર્શાવી હતી. આ પ્રદર્શન માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સર્જનાત્મક મંચ પર પણ LJK યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કલાત્મક ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:31 pm

સયાજીગંજ શાળાના 45 વિદ્યાર્થીઓ CRC રમતોત્સવમાં ભાગ લીધો:વિવિધ રમતોમાં વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું

પી.એમ.શ્રી.એન.પી. સયાજીગંજ શાળા નંબર 52 ના 45 વિદ્યાર્થીઓએ CRC કક્ષાના રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:29 pm

શિક્ષણ-ઉદ્યોગ જોડાણ:ઇન્ટર્નશિપ માટે વિશેષ વર્કશોપ યોજાયો, અમદાવાદ-ગાંધીનગરની કોલેજો માટે KCG ખાતે આયોજન કરાયું

ગુજરાત સરકારે NEP-2020ના અસરકારક અમલીકરણ અને વિદ્યાર્થીઓને વધુ રોજગારક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક વિશેષ વર્કશોપનું આયોજન કર્યું હતું. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપ ઇન્ટર્નશિપ અને અપ્રેન્ટિસશિપ પર કેન્દ્રિત હતો, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો એક મંચ પર આવ્યા હતા. આ વર્કશોપ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટ-ઇન-એઇડ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજો માટે ખાસ યોજાયો હતો. તેમાં 12થી વધુ પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતો, શૈક્ષણિક સંસ્થાના અધિકારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે બજારની જરૂરિયાતો, રોજગારીની તકો અને જરૂરી કૌશલ્યોના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્ષોથી એવી માન્યતા હતી કે ઇન્ટર્નશિપ અને અપ્રેન્ટિસશિપ ફક્ત ટેકનિકલ અથવા વ્યવસાયિક અભ્યાસક્રમો માટે જ મહત્વપૂર્ણ છે. જોકે, ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો અને NEP-2020ના અમલીકરણને કારણે આ દૃષ્ટિકોણમાં મોટો પરિવર્તન આવ્યો છે. હવે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ વાસ્તવિક બજારનો અનુભવ મેળવવા ઇન્ટર્નશિપ અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે. અભ્યાસની સાથે સાથે વિષય અને તેને અનુરૂપ ક્ષેત્રનો પ્રાયોગિક અનુભવ દરેક વિદ્યાર્થી માટે રોજગાર ક્ષમતા વધારવાનું એક મહત્વનું સાધન બની ગયું છે. આ હેતુસર, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 70થી વધુ કોલેજોના પ્રિન્સિપાલ, વિદ્યાર્થી પ્રતિનિધિઓ, NEP નોડલ ઓફિસર્સ અને પ્લેસમેન્ટ/ઇન્ડસ્ટ્રી ઓફિસર્સને આ વર્કશોપમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 250થી વધુ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ દ્વારા ઉદ્યોગની વર્તમાન જરૂરિયાતો અને અપેક્ષાઓને સ્પષ્ટપણે સમજવામાં મદદ મળી હતી, જેથી અભ્યાસક્રમમાં તેનું અમલીકરણ સરળ બનશે. આ કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચે સેતુ બનવાનું કાર્ય કરશે. ઉદ્યોગના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ પાસેથી ઉદ્યોગની અપેક્ષાઓ, ઇન્ટર્નશિપની તકો, ભવિષ્યમાં જરૂરી વ્યક્તિગત અને વ્યાવસાયિક કૌશલ્યો તેમજ ભવિષ્યમાં ઉદ્યોગ રોજગારની પરિસ્થિતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આનાથી કોલેજો પોતાના શૈક્ષણિક માળખાને વધુ ઉદ્યોગ અને રોજગારી લક્ષી બનાવી શકશે. આ સમગ્ર કાર્યક્રમની પહેલ અને માર્ગદર્શન માનનીય કમિશનર, ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની આગેવાની હેઠળ ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ વધુ ઉદ્યોગ-રોજગારી અને બજારની માંગ આધારિત કૌશલ્ય પ્રદાન કરવા તરફ આગળ વધી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:28 pm

પાટણમાં વરિષ્ઠ નાગરિકો માટે ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિપૂજન:શ્રીમંત ફતેહસિંહરાવ પુસ્તકાલય દ્વારા આધુનિક સુવિધાવાળો હોલ બનશે

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. પાટણના વિદ્વાન બ્રાહ્મણ શ્રી અમિતભાઈ ઓઝા દ્વારા વિધિવત રીતે આ ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે દાતા અરવિંદભાઈ કૃષ્ણાલાલ દવે અને જયશ્રીબેન અરવિંદભાઈ દવે, કૈલાશબેન વ્યાસ, મનોજભાઈ વ્યાસ, પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા, પ્રમુખ હિરલબેન પરમાર સહિત કારોબારી સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ હોલનો સંપૂર્ણ ખર્ચ દાતા પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે. આ હોલ ઉપર અને નીચે બંને બાજુ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ પાટણના વરિષ્ઠ નાગરિકો તેમના નિવૃત્ત જીવનનો ઉત્તમ સમય પસાર કરી શકે તે છે. હોલમાં હોમ થિયેટર સાથે સમાચાર, ધાર્મિક પ્રવચનો, મનોરંજન કાર્યક્રમો, મોટીવેશનલ લેક્ચર, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના લેક્ચર તેમજ વિવિધ પુસ્તકોના પ્રવચનો આધુનિક પદ્ધતિથી દર્શાવવામાં આવશે. આવી સુવિધાથી સજ્જ થનારી આ ગુજરાતની પ્રથમ લાઇબ્રેરી બનશે, જે પાટણ શહેર માટે ગૌરવપૂર્ણ બાબત છે. પુસ્તકાલય દ્વારા દાતા પરિવારનો આ ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:25 pm

ઉમરાળા ગામ ODF પ્લસ મોડલ તરફ:ગોબરધન યોજનાથી સ્વચ્છતા અને સ્વાવલંબનનું ઉદાહરણ બન્યું

સ્વચ્છતા અભિયાન હવે ગ્રામ વિકાસનો મજબૂત આધાર બની રહ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ આ વિચારને સાકાર કરી રહ્યું છે. ગોબરધન પ્રોજેક્ટના સફળ અમલથી ઉમરાળા ગામ ઓ.ડી.એફ. પ્લસ મોડલ ગામ તરફ દ્રઢ પગલાં ભરી રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે ૨જી ઓક્ટોબર ૨૦૧૯ના રોજ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત (ODF) જાહેર કરવામાં આવ્યો. આ સફરને વધુ સશક્ત બનાવવા માટે, પ્રધાનમંત્રીની દીર્ઘદૃષ્ટિ મુજબ વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ દરમિયાન સ્વચ્છ ભારત મિશન તબક્કા-૨ અંતર્ગત તમામ ગામોને ODF પ્લસ મોડલ ગામ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ તબક્કામાં ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક સંચાલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ગોબરધન પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બની રહ્યો છે. રાણપુર તાલુકાના ઉમરાળા ગામે આ પ્રોજેક્ટનો શ્રેષ્ઠ અમલ થઈ રહ્યો છે. ગામના લાભાર્થીઓને ગંધ રહિત રસોઈ માટે બાયોગેસ મળી રહ્યો છે, જ્યારે પ્લાન્ટમાંથી મળતી મિથેન રહિત સ્લરી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ સ્લરીનો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે અને જમીનની ઉર્વરતા પણ જાળવી રહ્યા છે. આનાથી ખર્ચમાં ઘટાડો, ઉત્પાદનમાં વધારો અને પર્યાવરણ સુરક્ષા—આ ત્રણેયનો સમન્વય ઉમરાળા ગામમાં શક્ય બન્યો છે. આમ, સ્વચ્છતા, સ્વાવલંબન અને સસ્ટેનેબલ વિકાસનું સુંદર ઉદાહરણ બની રહેલું ઉમરાળા ગામ આજે અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:04 pm

શસ્ત્રસેના ધ્વજદિનની ઉજવણી:મહેસાણા અધિક કલેક્ટર જે.કે. જેગોડાએ ભંડોળમાં ફાળો આપી શુભારંભ કરાવ્યો, જિલ્લાવાસીઓને દિલ ખોલીને યોગદાનની અપીલ

આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાનો ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પલ્કેશકુમાર એચ.ચૌધરી દ્વારા અધિક નિવાસી કલેક્ટર જે.કે.જેગોડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારીઆ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. અધિક નિવાસી કલેક્ટર જસવંત કે. જેગોડાએ અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના સશસ્ત્ર સેનાના સૈનિકો યુદ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી પ્રકોપ, માનવ સર્જીત અકસ્માત કે આપદાઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમુલ્ય સેવા બજાવવા અગ્રસર રહે છે. દેશની રક્ષા કરવા સતત તહેનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી થાય છે. ગતવર્ષે 9 લાખ જેટલું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી હતીવધુમાં તેમણે કહ્યું કે, સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનર્વસવાટ માટે તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રની નિતિના ફલસ્વરૂપ તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ઘણી નાની ઉમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરવામાં આવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે ચિંતા કરવી એ આપણી ફરજ છે. ગતવર્ષે 9 લાખ જેટલું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી હતી. આ વર્ષે પણ સશસ્ત્ર સેના ધ્વજદિન 2025-26 માં મહત્તમ ફાળો આપવા સર્વ કચેરી, સંસ્થા, શાળાઓ, વ્યક્તિને તથા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પલ્કેશકુમાર એચ.ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:03 pm

AQI ખતરનાક સ્તરે પહોંચતા સરકાર એકશનમાં:17 મહાનગરપાલિકા વિસ્તારમાં તકેદારી ન રાખનારી 541 બાંધકામની સાઈટ સામે દંડનીય કાર્યવાહી

શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધતા હવા પ્રદૂષણને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભવિષ્યમાં પ્રદૂષણની ગંભીર અસરોને અટકાવવા રાજ્યના તમામ વિભાગોને સાથે રાખીને ઝડપી પગલા ભરવા જણાવી તાકીદ કરી હતી. CMની સૂચના બાદ બાંધકામની સાઈટ પર તપાસ શરૂમુખ્યમંત્રીની સૂચનાનુસાર શહેરી વિકાસ વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે. વિભાગના અગ્ર સચિવએ રાજ્યની 17 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરો અને 6 પ્રાદેશિક નગરપાલિકાના કમિશનરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી બાંધકામ સાઈટ પર પ્રદૂષણ નિયંત્રણના પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ તમામ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક સાઈટ ઈન્સ્પેક્શનનો પ્રારંભ કર્યો હતો. બાંધકામ દરમિયાન તકેદારી ન રાખનારી 541 સાઈટ સામે દંડનીય કાર્યવાહીમાત્ર ત્રણ દિવસમાં રાજ્યની 2,961 બાંધકામ સાઈટ પૈકી 2,600થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમાં જૂની 8 મહાનગરપાલિકાની 1,303 તથા નવી 9 મહાનગરપાલિકાની 1,300 સાઈટનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી હેઠળની કુલ 771 સાઈટનું પણ 100% ઈન્સ્પેક્શન પૂર્ણ થયું છે. ઈન્સ્પેક્શન દરમિયાન તકેદારી ન રાખનાર કુલ 541 સાઈટને દંડ ફટકારાયો છે. જેમાં જૂની મહાનગરપાલિકાની 506 સાઈટને ₹1.22 કરોડ અને નવી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી 35 સાઈટને 1 લાખ 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાલમાં શહેરી વિકાસ વિભાગ દૈનિક ધોરણે મોનીટરીંગ અને સમીક્ષા કરી રહ્યું છે અને બાંધકામ સમયે પર્યાવરણ સંરક્ષણના નિયમો કડકાઈથી અમલમાં લાવવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે. આ સમાચાર પણ વાંચોગુજરાતનાં ચાર મુખ્ય શહેરમાં AQI 180ને પાર, અમદાવાદ-રાજકોટમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો; ડોક્ટરે કહ્યું- 'માસ્ક પહેરો' ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે છેલ્લા 15 દિવસથી હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો થયો છે. ગુજરાતનાં ચાર મુખ્ય શહેર- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણના સ્તર 180ને પાર થઈ જતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. આ શહેરોમાં સવારના અને સાંજના સમયે તો AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ)નો સ્તર 200ને પાર પહોંચી જાય છે, જેને અનહેલ્થી ગણવામાં આવે છે. મહાનગરોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 180ને પાર પહોંચવા લાગતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. ખાસ કરીને શ્વાસ અને હૃદયરોગના દર્દીઓે વહેલી સવારે અને રાત્રિના સમયે બહાર ન નીકળવા સલાહ આપી છે. જો બહાર નીકળવાનું થાય તો N-95 માસ્ક પહેરવા સલાહ આપવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:58 pm

હિંમતનગરમાંથી SOGએ નશાકારક કફ સિરપ ઝડપી:176 બોટલ સાથે બે આરોપી પકડાયા, એક ફરાર

સાબરકાંઠા SOG એ હિંમતનગર વિસ્તારમાંથી નશાકારક કફ સિરપ કોડીનની 176 બોટલ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 33,440 આંકવામાં આવી છે. SOG PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PSI પી.એમ. ઝાલા અને તેમનો સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે હિંમતનગર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમી મુજબ, હિંમતનગર બસ સ્ટેશન સામે શક્તિ હોટલ નજીક મોચીવાસમાં જવાના રોડ પર એક ઇસમ કાળા રંગની થેલીમાં કફ સિરપની બોટલો સાથે ઊભો હતો. SOG ટીમે ત્યાં જઈને તપાસ કરતા હિંમતનગરના મોચીવાસમાં રહેતા કરુણ ઉર્ફે કરણ રામજીભાઈ પરમાર (ઉં.વ. 18 વર્ષ 2 માસ) પાસેથી લેબલ વગરની 11 કફ સિરપની બોટલો મળી આવી હતી. કરુણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ કફ સિરપ તે હિંમતનગર બસ સ્ટેશન સામે, મોચીવાસમાં રહેતા દર્શનકુમાર ભરતભાઈ પરમારના ઘરેથી લાવ્યો હતો. દર્શન પરમાર આ સિરપ હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં તુલસી ફ્લેટમાં રહેતા નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ પાસેથી લાવ્યો હતો. SOG ટીમે કરુણને સાથે રાખી દર્શનકુમાર પરમારના ઘરે તપાસ કરતા ત્યાંથી લેબલ વગરની 17 કફ સિરપની બોટલો મળી આવી હતી. ત્યારબાદ, 40 વર્ષીય નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિના ઘરેથી 'TRIPROLIDDINE HYDROCHLORIDE PHOSPHATE SYRUP' ના લેબલવાળી 148 કફ સિરપની બોટલો મળી હતી. આમ, SOG ટીમે કુલ 176 નંગ કફ સિરપની બોટલો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂ. 33,440 થાય છે. SOG એ તમામ મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા બે અને ફરાર એક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ 1. કરુણ ઉર્ફે કરણ રામજીભાઈ અરજનભાઈ પરમાર, ઉં.વ. 18 વર્ષ 2 માસ, રહે. હિંમતનગર બસ સ્ટેશનની સામે, મોચીવાસ, હિંમતનગર, જિ. સાબરકાંઠા. 2. નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ, ઉં.વ. 40, રહે. તુલસી ફ્લેટ, એફ વિંગ, મકાન નં-105, સહકારી જીન, હિંમતનગર, જિ. સાબરકાંઠા. ફરાર આરોપી: 1. દર્શનકુમાર ભરતભાઈ પરમાર, રહે. હિંમતનગર બસ સ્ટેશનની સામે, મોચીવાસ, હિંમતનગર, જિ. સાબરકાંઠા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:57 pm

પોરબંદરમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસ યોજાયો:રાણાકંડોરણાના વેલનાથ મોડલ ફાર્મની ખેડૂતોએ મુલાકાત લીધી

પોરબંદરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના હેઠળ પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવાસ અંતર્ગત કુતિયાણા તાલુકાના ચૌટા ગામના ખેડૂતોએ રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામ સ્થિત વેલનાથ મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. આ પ્રેરણા પ્રવાસમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેલનાથ મોડલ ફાર્મ ખાતે ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃતના જીવંત નિદર્શન (ડેમો) તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓનું પ્રત્યક્ષ પ્રદર્શન કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ માર્ગદર્શન તાલુકા સંયોજક દેવાભાઈ ખૂટી, એગ્રી એસિસ્ટન્ટ પારસ મારૂ અને આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજભાઈ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રવાસ ખેડૂતો માટે અત્યંત માર્ગદર્શક સાબિત થયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ઉત્પાદકતા વધારવી, ખેતી ખર્ચ ઘટાડવો અને સ્વસ્થ પાક ઉત્પાદન તરફ આગળ વધવાનો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:42 pm

અમરેલીમાં 2.24 લાખ ખેડૂતોએ કૃષિ રાહત માટે અરજી કરી:1.56 લાખ અરજીઓની ચકાસણી પૂર્ણ, ₹252 કરોડથી વધુ જમા

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત 75 હજારથી વધુ ખેડૂતોને ₹252 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 2,24,613 અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી, જેમાંથી 1,56,000 અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પેકેજ હેઠળ પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2,24,613 ખેડૂતોએ અરજીઓ કરી છે. પી.એફ.એમ.એસ. પોર્ટલ મારફત થયેલી કામગીરીમાં 75 હજારથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને ₹252 કરોડથી વધુની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી અરજદાર ખેડૂતોના આધારલિંક બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે અમરેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં જોગવાઈ મુજબ વી.સી.ઈ. મારફત નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી 14 નવેમ્બર, 2025થી શરૂ થઈ હતી. અરજી મેળવવાની આ કાર્યવાહી હવે પૂર્ણ થઈ ગઈ છે. અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ 626 અસરગ્રસ્ત ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અરજદારો દ્વારા રજૂ કરાયેલા સાધનિક પુરાવા અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામસેવક અને તાલુકા સ્ટાફ મારફત કરવામાં આવી રહી છે. હાલના તબક્કે 1,56,000 અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અન્ય અરજીઓની ચકાસણીની કામગીરી દિવસ-રાત સતત ચાલુ છે. જેમ જેમ અરજી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થશે, તેમ તેમ પાક નુકસાની સહાય પેકેજની રકમ ખેડૂતોના બેંક ખાતામાં DBT મારફત સીધી જ જમા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:37 pm

મહિલાનું હાર્મોનિયમ રીક્ષામાં ભૂલાયું:પોરબંદરમાં નેત્રમ ટીમે CCTVની મદદથી શોધી પરત કર્યું

પોરબંદરમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ નેત્રમ ટીમે ફરી એક પ્રશંસનીય કામગીરી કરી છે. એક મહિલાનું આશરે ₹15,000નું હાર્મોનિયમ ઓટો રીક્ષામાં ભૂલાઈ ગયું હતું, જેને ટીમે સીસીટીવીની મદદથી ગણતરીની મિનિટોમાં શોધી પરત અપાવ્યું હતું. અરજદાર વિજ્યાબેન તેમના પુત્ર સાથે રામબા કોલેજ પાસેથી કમલાબાગ સર્કલ તરફ જવા માટે એક ઓટો રીક્ષામાં બેઠા હતા. આ દરમિયાન તેમનું હાર્મોનિયમ રીક્ષામાં જ રહી ગયું હતું. વિજ્યાબેને નેત્રમ કચેરીનો સંપર્ક કરતા, નેત્રમ ઇન્ચાર્જે તાત્કાલિક સ્ટાફને શોધખોળ શરૂ કરવા સૂચના આપી હતી. ટીમે રીક્ષા પસાર થયેલા રૂટ પર લગાવેલા VISWAS PROJECTના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ04 AU 2128 હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ રીક્ષા ચાલક રાજુભાઇ રાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નેત્રમ કચેરીએ રીક્ષા ચાલક રાજુભાઇ અને અરજદાર વિજ્યાબેન બંનેને બોલાવી, ભૂલાઈ ગયેલું હાર્મોનિયમ સુરક્ષિત રીતે પરત સોંપ્યું હતું. વિજ્યાબેને નેત્રમ સ્ટાફ અને પ્રમાણિક રીક્ષા ચાલક રાજુભાઇ રાળાનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:36 pm

કલા મહાકુંભ સ્પર્ધાનો અમરેલીમાં શુભારંભ:8 જિલ્લા, 4 મહાનગરપાલિકાના 4000 સ્પર્ધકો ભાગ લેશે

અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-2025નો રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે શુભારંભ થયો. આ સ્પર્ધા 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે. શહેરની કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નૂતન મીડલ સ્કૂલ) ખાતે આયોજિત આ મહાકુંભમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 4 મહાનગરપાલિકા વિસ્તારના લગભગ 4,000 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય, ભાવનગર શહેર અને ગ્રામ્ય, જામનગર શહેર અને ગ્રામ્ય, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. વિવિધ વયજૂથમાં કુલ 30 સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સ્પર્ધામાં કલાત્મક લોકનૃત્યો, સમૂહ ગીત, અભિનય, લેખન, સંગીતના વિવિધ વાદ્યોનું વાદન, વક્તૃત્વ અને અન્ય કલા પ્રસ્તુતિઓનો સમાવેશ થાય છે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કલાકારોની કલાકૃતિઓ નિહાળી હતી અને તેમની કળાને બિરદાવી હતી. તેમણે અમરેલીના યજમાનપદે યોજાઈ રહેલા આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમારે રાજ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા, મૌલિક ઉપાધ્યાય, વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો, શાળાના શિક્ષકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:36 pm

ખાણખનીજ વિભાગને અંધારામાં રાખી કેશોદ SDMનો દરોડો:જૂનાગઢના માંગરોળ-શીલ પંથકમાં બેરોકટોક ચાલતી પથ્થરોની ખાણ ઝડપી પાડી, પથ્થર ભરેલા 25 ટ્રક જપ્ત કરાયા

જૂનાગઢ કલેક્ટર સૂચના બાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને રોકવા માટે તંત્ર સક્રિય થયું છે. છેલ્લા ઘણા સમયથી માંગરોળ અને શીલ પંથકમાં ધમધમતી પથ્થરની ગેરકાયદેસર ખાણો પર કેશોદના પ્રાંત અધિકારીએ ખનીજ વિભાગને જાણ કર્યા વિના જ અચાનક સપાટો બોલાવ્યો હતો. જ્યાં સ્થળ પરથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખાણખનીજને જાણ કર્યા વગર SDMએ દરોડો પાડતા અનેક તર્કવિતર્ક​જિલ્લા કલેક્ટરે ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા કડક સૂચનાઓ આપી હતી. તેના અનુસંધાનમાં કેશોદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક અસરથી માંગરોળ અને શીલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી એટલી ગુપ્ત હતી કે જિલ્લાનો ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ તેને દરોડાની જાણ પણ કરવામાં આવી નહોતી. બેલા (પથ્થર) ભરેલા 25 ટ્રક જપ્ત કરવામાં આવ્યા​દરોડા દરમિયાન, ઘટના સ્થળેથી 25થી વધુ પથ્થર ભરેલા ટ્રક સહિત પથ્થર કટિંગ માટે વપરાતી અનેક ચકરડીઓ (કટિંગ મશીનો) પણ કબજે કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીને લઈને રજૂઆતો થઈ હતી, જેના પગલે આ પગલું લેવામાં આવ્યું છે. ખનીજ ચોરીમાં રાજકીય માથાઓના નામ ખુલવાની શક્યતા​જૂનાગઢ જિલ્લામાં આટલા મોટા પાયે ચાલતી ગેરકાયદેસર પથ્થરની ખાણો પર તવાઈ બોલાવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.. આ ગેરકાયદેસર ખાણો ઘણા લાંબા સમયથી ધમધમતી હતી અને તેમાં અનેક રાજકીય માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે. કલેક્ટરના સીધા આદેશ બાદ પ્રાંત અધિકારીએ કરેલી આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:33 pm

ગઢડામાં CCTV લગાવવા માંગ, ગુનાખોરીનો ભય:નગરપાલિકાએ ₹1 કરોડના પ્રોજેક્ટનો ઠરાવ કર્યો

સૌરાષ્ટ્રના મહત્વના યાત્રાધામ ગઢડામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ૪૦ હજારથી વધુ વસ્તી અને ૭૬ ગામો ધરાવતા આ મોટા તાલુકામાં એકપણ CCTV કેમેરા ન હોવાથી ગુનાખોરી વધવાનો ભય સેવાઈ રહ્યો છે. શહેરીજનો અને વિપક્ષ દ્વારા CCTV લગાવવાની માંગ ઉઠાવાઈ છે, જેના પગલે નગરપાલિકાએ ₹1 કરોડના CCTV પ્રોજેક્ટનો ઠરાવ પસાર કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વના તીર્થધામ ગઢડામાં વર્ષભર હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. શહેરમાં બે મોટા મંદિરો હોવા છતાં, સુરક્ષા વ્યવસ્થા ફક્ત માનવીય દેખરેખ પર નિર્ભર છે. ૪૦ હજારથી વધુ વસ્તી અને ૭૬ ગામો ધરાવતો આ જિલ્લોનો સૌથી મોટો તાલુકો છે, જ્યાં CCTV કેમેરાના અભાવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. બોટાદ રોડ, ભાવનગર રોડ, જસદણ રોડ, ટાવર રોડ, નવા મંદિર રોડ, બોટાદના ઝાંપે, માણેક ચોક, હાઈસ્કુલ ચાર રસ્તા, જુના મંદિર રોડ, વાઢાળા ચોક અને શાકમાર્કેટ સહિત શહેરના મુખ્ય માર્ગો પર CCTV મુકવાની માંગ શહેરીજનો અને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે ગઢડાના એડવોકેટ ચેતન ત્રિવેદીએ માહિતી આપી હતી. બીજી તરફ, ગઢડા નગરપાલિકા દ્વારા ₹1 કરોડના CCTV નેટવર્ક માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના તમામ વિસ્તારો, ધાર્મિક સ્થળો, હોસ્પિટલ, માર્કેટ અને મુખ્ય રસ્તાઓ પર આધુનિક CCTV સિસ્ટમ લગાવવામાં આવશે. ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર ડી. જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમનો કંટ્રોલ રૂમ સીધો પોલીસ સ્ટેશન ખાતે રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:29 pm

'DyCM વડગામ આવ્યા, પણ દારૂ બંધ કરાવવાનું વચન ન આપ્યું':હર્ષ સંઘવીને મારી જોડે ડિબેટ કરવાની તાકાત ન હોય તો મારા પટાવાળા જોડે કરે, પાલનપુરથી જિજ્ઞેશ મેવાણીની ચેલેન્જ

પાલનપુરમાં આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે બે દિવસ અગાઉ હર્ષ સંઘવી મારા મત વિસ્તારમાં આવ્યા પણ તેમણે દારૂ-ડ્રગ્સ બંધ કરાવવાનું વચન ન આપ્યું. હું તેમને મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપુ છું અને જો એમની મારી સાથે ડિબેટ કરવાની કેપેસીટી ન હોય તો મારા પટાવાળા કે ડ્રાઇવર સાથે કરે. 'મારા વિસ્તારમાં આવ્યા પણ દારૂ બંધ કરાવવાનું વચન ન આપ્યું'જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, રાજ્યમાં લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો ડ્રગ્સના રવાડે ચડ્યા છે અને છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સની બદી ચરમસીમાએ પહોંચી છે. બે દિવસ પૂર્વે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવી મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં આવ્યા હતા, પરંતુ તેમણે જુગારધામ, કુટણખાના, દારૂ કે ડ્રગ્સનો વેપાર બંધ કરાવવા અંગે કોઈ વચન આપ્યું ન હતું. 'મારા પટાવાળા-ડ્રાઈવર કે પીએ સાથે ડિબેટ કરો'ધારાસભ્ય મેવાણીએ ગૃહમંત્રી સંઘવીને જાહેરમાં ડિબેટ કરવા પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે જો સંઘવીમાં તેમની સાથે ડિબેટ કરવાની ક્ષમતા ન હોય તો તેમના પટાવાળા, ડ્રાઈવર કે પીએ સાથે ડિબેટ કરે. મેવાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિધાનસભા વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ તે અંગે સ્પષ્ટતા કરવા પણ માંગ કરી હતી. 'પોલીસ વડા કોન્સ્ટેબલ પાસે જૂતાની પોલીસ કરાવે છે'પોલીસ તંત્ર પર આક્ષેપ કરતા મેવાણીએ કહ્યું કે, જિલ્લા પોલીસ વડાઓ કોન્સ્ટેબલ પાસે પોતાના જૂતાની પોલિશ કરાવે છે, જે એક ગંદકી છે અને તેને તાત્કાલિક બંધ કરાવવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે ડ્રગ્સ ગુજરાતની ભાવી પેઢીને ચકનાચૂર કરી નાખશે. 'આ તો માત્ર શરૂઆત છે, હું જેને પકડે છું તેને છોડતો નથી'મેવાણીએ ગુજરાતની જનતા વતી સવાલ કર્યો હતો કે, કયો મંત્રી ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે જે પણ મંત્રી દારૂના અડ્ડા, જુગારધામ કે ડ્રગ્સના કારોબારમાંથી કમાય છે તે ગુજરાત અને દેશનો ગદ્દાર છે. અંતે, જીગ્નેશ મેવાણીએ કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે હું જેને પકડે છું તેને છોડતો નથી. તેમણે ડ્રગ્સ બંધ કરાવ્યા વગર નહીં રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના આગેવાનોએ રેલી કાઢી કલેક્ટરને રજૂઆત કરીઆ ઉપરાંત આજે કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ સાથે પાલનપુરના દિલ્હી ગેટથી જિલ્લા કલેક્ટરની કચેરી સુધી રેલી કાઢીને દારૂ-ડ્રગ્સના દુષણ પર અંકુશ લાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેવાણીના પોલીના પટ્ટા ઉતારવાના નિવેદનથી વિવાદ શરૂ થયોગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી હતી. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આ પટ્ટા તમારા છે, અમારા નહીં. એટલે તમારા પટ્ટા ઊતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન કરીને મેવાણીના રાજીનામાની માગ કરી હતી. જે બાદ વિવાદ વકરી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:23 pm

અણુવ્રત દ્વાર ફ્લાયઓવર પિલરની તિરાડોનો મામલો:ગંભીર માળખાકીય ખામીની જાણ થયા બાદ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક રીપેરીંગનું કામ શરૂ કરવાની ફરજ પડી

સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ફ્લાયઓવર બ્રિજના એક પિલરમાં મોટી તિરાડો અને અંદરના સળિયા ખુલ્લા દેખાવાના મામલે સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આ ગંભીર માળખાકીય ખામીની જાણ થયા બાદ જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક રીપેરીંગનું કામ શરૂ કરવાની ફરજ પડી હતી. નવ વર્ષમાં જ પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો પડીઅણુવ્રત દ્વાર ઓવરબ્રિજ, જે 2016માં BRTS પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, તે માત્ર નવ વર્ષના ગાળામાં જ જર્જરિત હાલતમાં આવી ગયો છે. બ્રિજના મધ્યભાગના એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો પડી છે, જેના કારણે કોંક્રીટનું પડ તૂટી ગયું છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ઘટના ઉજાગર થયા બાદ તંત્ર સફાળું જાગ્યુંસૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આટલા વ્યસ્ત બ્રિજ પરની આ ગંભીર ખામી અંગે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશો કે સ્થાનિક કોર્પોરેટર પણ અજાણ હતાં. આ ઘટનાને ઉજાગર કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી. રિપેરિંગની ગુણવત્તા પર સવાલઆ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે, થોડા જ સમય અગાઉ આ બ્રિજને મહત્ત્વપૂર્ણ રિપેરિંગ માટે લગભગ એક મહિના સુધી બંધ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી વાહનવ્યવહાર બંધ રાખીને કરવામાં આવેલા રિપેરિંગના ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાવી, એ રિપેરિંગની ગુણવત્તા અને કામગીરી પર મોટો સવાલ ઊભો કરે છે. લોકોમાં પ્રશ્ન ઉઠ્યા છે કે આ રિપેરિંગ માત્ર કોસ્મેટિક હતું કે તેમાં કોઈ ગંભીર ખામી રહી ગઈ છે. બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગો નબળા હોવાનું સામે આવ્યુંવળી, મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો અપાયા હતા, છતાં SMC દ્વારા થયેલા પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન ઇન્સ્પેક્શન રિપોર્ટમાં પણ આ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગો નબળા હોવાનું સામે આવ્યું હોવા છતાં સમયસર પગલાં લેવામાં આવ્યા નહોતા. બ્રિજના પિલરની તિરાડોના રીપેરીંગનું કામ શરૂઅહેવાલ બાદ જાગેલા SMC તંત્રએ તાત્કાલિક અસરથી પગલાં લીધા છે. તિરાડવાળા બ્રિજ પિલરની આસપાસ બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે અને સ્થળ પર 'વર્ક ઇન પ્રોગ્રેસ'ના બેનરો મૂકી દેવાયા છે. બ્રિજના પિલરની તિરાડોને રીપેર કરવાનું કામ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે. નાગરિકોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે, આ રીપેરીંગ કામગીરી દરમિયાન ડાયવર્ઝન માર્ગ દર્શાવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત રીપેરીંગ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને સમગ્ર બ્રિજનું સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની નિષ્ણાત ટીમ દ્વારા વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવે તે અનિવાર્ય છે, જેથી સુરતના હજારો વાહનચાલકોની સલામતી જોખમાય નહીં.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:23 pm

રાણપુર પોલીસે ફરાર આરોપીને ઝડપ્યો:ધંધુકા, રાણપુર પોલીસ સ્ટેશનના ગુનામાં હતો ફરાર, અગાઉ આરોપી સામે 5 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુના

રાણપુર પોલીસે ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો. રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એ. પટેલના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઈ. એસ.એ. વસાવા અને તેમની ટીમે નાગનેશ ગામમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા રાજેન્દ્રસિંહ ઝાલા (રહે. નાગનેશ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે રાણપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. આરોપી કૃષ્ણરાજસિંહ ઝાલાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની સામે રાણપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 118(2) અને આર્મ્સ એક્ટ 25(1-B)(A) હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત, અગાઉ ધંધુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ પણ ગુના દાખલ છે. રાજકોટના વિંછીયા, રાણપુર, ભાવનગરના બી ડિવિઝન અને અમદાવાદના ધંધુકામા મારામારીના કુલ પાંચ જૂના ગુનાઓ નોંધાયેલા છે. રાણપુર પોલીસની આ કાર્યવાહીથી ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:21 pm

મોરબીના યુવાન સાથે 27.57 લાખની ઠગાઇ:ટેલિગ્રામ પર લાલચ આપી અજાણ્યા શખ્સોએ છેતરપિંડી કરી

મોરબીમાં એક યુવાન સાથે ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા 27.57 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. અજાણ્યા શખ્સોએ ઓનલાઈન ટાસ્ક પૂરી કરીને મોટો આર્થિક ફાયદો મેળવવાની લાલચ આપી હતી. આ મામલે ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ધર્મલાભ સોસાયટી, દેવસત્ય પેલેસ, મોરબી ખાતે રહેતા અને ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કાર્યરત નીરવકુમાર નરેશભાઈ કુકરવાડિયા (ઉં.વ. 30) એ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે પ્રિયા નંદાકુમાર, રોમીલા દેવી, દેવેન્દ્ર, સંજય કપૂર અને અર્જુન પ્રસાદ નામના પાંચ વ્યક્તિઓ સામે આરોપ લગાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ટેલિગ્રામ એપ્લિકેશન પર અલગ અલગ યુઝર પ્રોફાઈલ બનાવી હતી. તેમણે ફરિયાદીને ઓનલાઈન ટાસ્ક પૂરા કરીને તગડો આર્થિક લાભ મેળવવાની લોભામણી સ્કીમ આપી હતી. મેસેજ દ્વારા વાતચીત કરીને આરોપીઓએ નીરવકુમારનો વિશ્વાસ કેળવ્યો હતો. આ વિશ્વાસના આધારે, નીરવકુમારે SBI અને HDFC બેંકના અલગ અલગ એકાઉન્ટમાં જુદી જુદી તારીખે કુલ 27.57 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે તેમણે રોકાણ કરેલા નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ તે પરત આપવાનો ઇનકાર કર્યો હતો. આથી, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નીરવકુમારે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:21 pm

પોરબંદરમાં વોર્ડ 7 ખાતે ધાબળા વિતરણ:ભાજપ સેવાકીય કાર્યાલય અને વીર બાબલ ગ્રુપે આયોજન કર્યું

પોરબંદરના વોર્ડ નંબર ૭ માં, શીતળા ચોક નજીક આવેલા ભાજપ સેવાકીય કાર્યાલય અને વીર બાબલ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ, અશક્ત અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને નિઃશુલ્ક ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત, સેવાભાવી સભ્યોએ વૃદ્ધોના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. માનવતા આધારિત સેવા ભાવથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શીતળા ચોક વિસ્તાર તેમજ વોર્ડ નંબર ૭ અને આસપાસના વિસ્તારોમાં આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ લોકઉપયોગી કાર્યક્રમના આયોજનમાં દીપેનભાઈ ગોહેલ, મહેશભાઈ બાદરશાહી, ઋત્વિકભાઈ લોઢારી, ઉમેશભાઈ જુંગી, ધર્મેશભાઈ ગોહેલ, વિજયભાઈ બાદરશાહી, આકાશભાઈ સેરાજી, રવિભાઈ જોશી, નિકેશભાઈ પાંજરી અને વિજયભાઈ મોઢા સહિતના સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે. આ સંસ્થાઓ દ્વારા સતત વિવિધ લોકઉપયોગી પ્રવૃત્તિઓ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:20 pm

“સરદાર@150 યુનિટી માર્ચ”નો ભવ્ય સમાપન સમારંભ:USના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદી સમાપન સમારંભમાં સહભાગી થયા; કલેકટર એસ. કે. મોદીને પણ મળ્યા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે “સરદાર@150 યુનિટી માર્ચ”ના ભવ્ય સમાપન સમારંભમાં સહભાગી થવા આવેલા યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદીએ આજે નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ ડૉ. ઈવાન્સ અફેદીને હાર્દિક સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પદયાત્રા જેવી અનોખી પહેલમાં યુનાઈટેડ નેશન્સના પ્રતિનિધિ તરીકે આપનો સહભાગ અમારા માટે ગૌરવ અને સૌભાગ્યની બાબત છે. સરદાર પટેલની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાની ભાવનાને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત કરવા આપની હાજરી મહત્ત્વપૂર્ણ છે. ડૉ. અફેદીએ નર્મદા જિલ્લાના આયોજન, યુનિટી માર્ચના સંદેશ અને સ્થાનિક જનભાવનાની પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ભારતીય સમાજની એકતા, વૈવિધ્ય અને રાષ્ટ્રીય ભાવના વિશ્વ માટે પ્રેરણારૂપ છે. તેમણે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલા આયોજનની પણ નોંધ લીધી. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસનાં વિવિધ મુદ્દાઓ, પર્યાવરણપ્રેમી પહેલો, સરદાર પટેલના વિચારોના વૈશ્વિક મહત્વ અને નર્મદા જિલ્લાના પ્રગતિશીલ વિકાસ અંગે પણ સૌહાર્દપૂર્ણ ચર્ચા થઈ હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:18 pm

અડપોદરામાં વીર ઝાલા બાવજી મંદિરનો શિલાન્યાસ:હિંમતનગરના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે વીર ઝાલા બાવજી મંદિરના શિલાન્યાસ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ હાજરી આપી હતી. તેમણે વિધિવત રીતે શિલાન્યાસની પૂજા કરી હતી. આ મંદિર માટે જમીનની ફાળવણી અને મંજૂરી બાબતે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના પ્રયાસોથી 'ભવ્ય મંદિરનું સ્વપ્ન' સાકાર થવા જઈ રહ્યું છે. આથી સમગ્ર વિસ્તારની જનતામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા શિક્ષણ સંકુલ, કોમ્યુનિટી હોલ તેમજ ભૌતિક અને આનુષંગિક કાર્યો માટે કુલ ₹30 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, અડપોદરા ગામથી ઝાલા બાવજી દેવસ્થાન સુધીનો 5 મીટર પહોળો જાહેર રસ્તો સત્વરે મંજૂર કરાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય લાલસિંહ રહેવરના પરિવારે મંદિર નિર્માણ અર્થે ₹5 લાખ આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવર, મહંત નાગેશ્વરગીરી મહારાજ, મહંત ધનગીરી મહારાજ, મહંત રજુસિંહ બાપુ તેમજ જય શ્રી ઝાલા બાવજી દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ હાલુસિંહજી ઝાલા, સેક્રેટરી પરબતસિંહ ઝાલા, મંત્રી રણજીતસિંહ ઝાલા, ખજાનચી ભાનુ પટેલ, કનુ પટેલ સહિત રાજકીય અગ્રણીઓ, ટ્રસ્ટીગણ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:15 pm

સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા SoU પર પહોંચી:મનસુખ માંડવિયા સહિતના અગ્રણીઓએ ઉમળકાભેર આવકારી; ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150 યુનિટી માર્ચને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર પહોંચ્યા હતા અને સમાપન કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે મહાનુભાવોએ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાનુભાવોની આગેવાનીમાં 150 પદયાત્રી સાથે આગળ વધતી પદયાત્રાએ અંતિમ પડાવ તરફ કૂચ કરી હતી. ત્યાર બાદ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પદયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી હતી. જ્યાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા ખડસે પણ પદયાત્રામાં જોડાયા હતા. જિલ્લાના અગ્રણીઓએ સરદાર સાહેબની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ સ્વરૂપે અર્પણ કરીને મહાનુભાવોને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપ્યો હતો. મહાનુભાવોએ નર્મદા માતા સામે શીશ નમાવીને પ્રજાકલ્યાણ અને રાષ્ટ્રના વિકાસની મનોકામના કરી હતી. પદયાત્રામાં છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત દેશભરના 150 પદયાત્રીઓ, કરમસદથી જોડાયેલા યુવકો તથા સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:10 pm

'કોઈ કહે હિન્દુ ધર્મ હિંસક છે તો સમર્થન ના આપો':પૂર્વ શિક્ષણમંત્રીએ ગુજરાત વિદ્યાપિઠમાં સનાતનનું અપમાન ન સાંખી લેવા સંકલ્પ લેવડાવ્યો, આંનદીબેને કહ્યું-'ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે'

ગુજરાત વિધાપીઠમાં આજે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ સ્નાતક આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. આ સમારોહમાં આનંદીબેન પટેલે ગાંધી મૂલ્યોનું જીવનમાં અનુકરણ કરવા પર ભાર મૂક્યો હતો અને સાથે જ શિક્ષણ વ્યવસ્થા પર તીવ્ર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે, જેના નિવારણ માટે ઉત્તર પ્રદેશમાં ડીજી લોકરમાં ડિગ્રી આપવાની શરૂઆત કરી છે'. આ ઉપરાંત, તેમણે યુનિવર્સિટીઓમાં કરોડોની ગ્રાન્ટના ઉપયોગ સામે સવાલ ઉઠાવ્યો હતો. આ જ મંચ પરથી પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'સનાતનના અપમાનને સાંખી નહીં લેવાનો' સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે વિશ્વમાં માત્ર ગાંધી વિચાર જ શાશ્વત છે. આનંદીબેન પટેલે કાર્યક્રમમાં 125 દીકરીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપીને પોતાના રાજભવનથી શરૂ કરેલા આ અભિયાનની વાત પણ કરી હતી, જેને પગલે અત્યાર સુધીમાં 60 હજારથી વધુ દીકરીઓને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. બે દિવસના સમારોહમાં 10 હજાર પૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણગુજરાત વિધાપીઠ ખાતે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પૂર્વ સ્નાતક અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યાં 200 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બે દિવસના સમારોહમાં 10 હજાર પૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. 'હિન્દુ ધર્મ હિંસક છે એવું કોઈ કહે તો સમર્થન તો ના આપીએ'આ સમારોહમાં પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં હતા. જેમણે જણાવ્યું હતું કે, આજે સનાતનનું અપમાન હું સાંખી નહીં લવ એવો સંકલ્પ કરીએ. કેટલીક મર્યાદામાં આપણે વિરોધ નથી કરતા. પણ કોઈ આપણી સામે સનાતનનું હળહળતું અપમાન કરતું હોય, કોઈ એમ કહે કે મચ્છરની જેમ મસળી નાખીએ હોય તો તે આપણે સાંભળી લઈએ તો ખોટું કહેવાય. હિન્દુ ધર્મ હિંસક છે એવું કોઈ કહે તો કમ સે કમ એનું સમર્થન તો ના આપીએ. ગાંધી વિચારમાં પણ સનાતન વિચાર સમાયેલો છે. વિશ્વમાં માત્ર ગાંધી વિચાર જ શાશ્વત છે, અન્ય વિચારો નાશ પામ્યા છે. દેશને સમૃદ્ધ કરવા સ્વદેશી અને આત્મનિર્ભરતા અપનાવવું પડશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજો એક ગાંધી વિચાર એવો પણ છે કે, ગામડાના બનેલા દેશને સમૃદ્ધ કરવો હશે તો સ્વદેશી અને આત્મનિર્ભરતા અપનાવવું પડશે. આપણી ઈકોનોમી આગળ વધી રહી છે એનું એકમાત્ર કારણ આત્મનિર્ભરતા છે. અમેરિકન ટેરિફની અસર પણ ભારત પર ના પડી એનું કારણ સ્વદેશીનો ગાંધી વિચાર છે. 'ગાંધી મુલ્યોની વાત કરવાથી કઈ ના થાય, તેને જીવનમાં ઉતારવી પડે'જ્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ સ્નાતક આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાપીઠમાં આવતા 1972નું વર્ષ યાદ આવ્યું ત્યારે મેં બીએડમાં પ્રવેશ મેળવ્યો હતો. 2 વર્ષના અભ્યાસ બાદ ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. ગાંધી મૂલ્યોની વાત કરવાથી કઈ થતું નથી, વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે. જ્યારે આપણે હોઈએ ત્યારે શું કર્યું એ મહત્ત્વનું છે. ઉત્તરપ્રદેશમાં 19 યુનિવર્સિટી A++ ગ્રેડ લાવ્યા છે. માત્ર લેક્ચર લેવાથી કંઇ ન થાય. 'યુનિવર્સિટીમાં કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે એ ક્યાં જાય છે?'આનંદીબેને ડિગ્રી વિશે ટિપ્પણી કરતા કહ્યું કે, ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે. યુપીમાં તો અમે ચાર વર્ષથી ડીજી લોકરમાં ડિગ્રી આપીએ છીએ જેથી ભ્રષ્ટાચાર ન થાય. યુનિવર્સિટીમાં કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે એ ક્યાં જાય છે. યુપીમાં જન સહયોગથી 50 હજાર આંગણવાડીને સાધનો આપવામાં આવ્યા છે પણ અહીંયા આંગણવાડી માટે કઈ નથી. આંગણવાડી બહેનો માટે સંસ્કાર આપવાનું કામ છે પણ મહિલાઓને બીજી કામગીરીમાં મોકલી દેવામાં આવે છે. ગુજરાતમાં તો મેં બંધ કરાવ્યું હવે બીજે પણ પ્રયાસ ચાલુ છે. અત્યાર સુધી 60 હજારથી વધુ દીકરીઓને વેક્સિન આપી દીધી કોરોનામાં વેક્સિન અંગે વાત કરતા કહ્યું, 9થી 13 વર્ષની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની વેક્સિન છે. એક વેક્સિન 1200ની છે એવી 2 વેક્સિનના 2400 થાય. દારૂ, ડ્રગ્સ લેવાય પણ દીકરી માટે 2400 ન ખર્ચી શકીએ તે દુનિયા છે. મેં રાજભવનથી શરૂ કર્યું તો 125 દીકરીઓ મળી. મેં મારા રાજભવના પૈસા દીકરીઓની વેક્સિન માટે આપી દીધા છે. મારી શરૂઆત બાદ લોકો આગળ આવ્યા અને મોટા પાયે વેક્સિન આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી 60 હજારથી વધુ દીકરીઓને વેક્સિન આપી દીધી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 3:48 pm

પંચમહાલમાં બે અલગ ઘટનામાં બેનાં મોત:ગોધરામાં આધેડ બેભાન, હાલોલમાં છકડો પલટતાં યુવકનું અવસાન

પંચમહાલ જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના મોત થયા છે. ગોધરામાં એક આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે હાલોલ નજીક છકડો પલટી જતાં એક યુવકનું અવસાન થયું હતું. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રથમ ઘટના ગોધરા શહેરના બામરોલી રોડ પર દીપ હોસ્પિટલ નજીક બની હતી. અહીં એક બાંકડા પર 58 વર્ષીય અરવિંદભાઈ લાલશંકર ત્રિવેદી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે અરવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યો છે. આ અંગે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઢેસીયા ગામના રહેવાસી રુદ્રકુમાર અરવિંદભાઈ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે. બીજી ઘટના હાલોલના રૂપારેલ ગામ નજીક બની હતી. હાલોલના નિશાળ ફળિયા, ગંગા તલાવડી ખાતે રહેતા 25 વર્ષીય મુકેશભાઈ પેથાભાઈ મેઘવાલ પોતાનો છકડો લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક છકડો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનો મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 3:46 pm

મહિલાઓના સ્વાસ્થ્ય માટે GBUનું રિસર્ચ મિશન:હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગના નિદાન-સારવાર માટે ગેટ્સ ફાઉન્ડેશનની 1.3 કરોડની સહાય

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) ને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ સંશોધન માટે આંતરરાષ્ટ્રીય ‘ગેટ્સ ફાઉન્ડેશન’ તરફથી રૂ. 1.3 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રોહિણી નાયરના નેતૃત્વમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટ અંતર્ગત માસિક ધર્મ દરમિયાન મહિલાઓને થતા હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ (HMB) માટે RNA આધારિત ડાયગ્નોસ્ટિક્સ અને ન્યૂનતમ ઈન્વેઝિવ સારવાર પદ્ધતિઓ વિકસાવવાની દિશામાં સંશોધન હાથ ધરાશે. ગેટ્સ ફાઉન્ડેશને આ પ્રોજેક્ટને પસંદ કર્યોHMB એ વૈશ્વિક સ્તરે કરોડો મહિલાઓને અસર કરતી સમસ્યા છે, જેના કારણે એનિમિયા, લાંબા સમયનો થાક, કામ કરવાની ક્ષમતામાં ઘટાડો અને જીવનની ગુણવત્તામાં અસર પડે છે. ખાસ કરીને ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં વહેલા નિદાન અને અસરકારક સારવારનો અભાવ રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેટ્સ ફાઉન્ડેશને Grand Challenges Support હેઠળ આ પ્રોજેક્ટને પસંદ કર્યો છે. 'AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને HMBના કારણોની ઓળખ કરી શકાશે'ડૉ. રોહિણી નાયરે જણાવ્યું કે, ફાઉન્ડેશન દ્વારા બે-તબક્કાની મૂલ્યાંકન પ્રક્રિયા બાદ આ પ્રોજેક્ટ પસંદ થયો છે અને આ સંશોધન યુવા તથા વૃદ્ધ તમામ ઉંમરની મહિલાઓ માટે વ્યવહારુ અને સસ્તો ડાયગ્નોસ્ટિક મોડલ પૂરું પાડવાનો રસ્તો ખોલશે. ઉપરાંત, AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને HMBના કારણોની વિગતવાર ઓળખ કરી શકાશે. સેલ્યુલર અને મોલેક્યુલર પરિબળોનું સિંગલ-સેલ RNA સિક્વન્સિંગ દ્વારા મેપિંગઆ અભ્યાસ Ahmedabad IKDRC Hospital ના ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગના ડીન ડૉ. રોહિના અગ્રવાલના સહયોગથી હાથ ધરાશે. ડૉ. અગ્રવાલ દર્દીઓની ઓળખ અને તબીબી મૂલ્યાંકનનું માર્ગદર્શન આપશે જ્યારે GBUની લેબ HMB સાથે સંકળાયેલા સેલ્યુલર અને મોલેક્યુલર પરિબળોનું સિંગલ-સેલ RNA સિક્વન્સિંગ દ્વારા મેપિંગ કરશે. મહિલાઓના સ્વાસ્થ્ય માટેની પહેલGBUના રિસર્ચ ડીન પ્રો. સુધીર પ્રતાપ સિંહએ જણાવ્યું કે, મહિલાઓના સ્વાસ્થ્ય માટે ભારત તરફથી વૈશ્વિક સ્તરે યોગદાન રૂપે આ સંશોધન એક સીમાચિહ્ન ઉપલબ્ધિ છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ માસિક સ્વાસ્થ્ય મેનેજમેન્ટની પદ્ધતિઓમાં મોટી ક્રાંતિ લાવશે એવી આશા છે. મહિલાઓને સંશોધન પ્રક્રિયામાં જોડવા આમંત્રિત કરાશેપ્રોજેક્ટ દરમિયાન HMB અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે અને મહિલાઓને સંશોધન પ્રક્રિયામાં જોડવા આમંત્રિત કરવામાં આવશે જેથી મહિલાઓ પોતાના અનુભવ ખુલ્લેઆમ શેર કરી શકશે અને સામાજિક સંકોચ દૂર થશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 3:45 pm

સાળંગપુર હનુમાનજીને ઓર્કિડ ફૂલોનો શણગાર:શનિવારે દાદાને ચાંદીનો મુગટ ધરાવાયો, વૃંદાવનના વાઘા પહેરાવાયા

સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવારે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને ઓર્કિડના મિશ્ર ફૂલો અને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી 06-12-2025ના રોજ આ શણગાર કરાયો હતો. દાદાને વૃંદાવનમાં તૈયાર કરાયેલા કમળના ફૂલની ડિઝાઇનવાળા એમ્બ્રોઇડરી વર્કના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઓર્કિડના ફૂલોનો હાર અને ચાંદીનો મુગટ પણ ધરાવાયો હતો. મંદિરમાં સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. પૂજારી સ્વામીએ આજના શણગાર વિશે જણાવ્યું કે, વૃંદાવનમાં 3 કારીગરો દ્વારા 4 દિવસની મહેનતથી કમળના ફૂલની ડિઝાઇનવાળા વાઘા તૈયાર કરાયા હતા. સિંહાસને સુશોભિત કરાયેલા ઓર્કિડના મિશ્ર ફૂલો વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 3:43 pm

હિંમતનગર-ઇડર રોડ પર રેલવે ફાટક 36 કલાક બંધ:સમારકામને કારણે 86A ધાંણધા ફાટક બંધ, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરો

હિંમતનગર-ઇડર રોડ પર આવેલું 86A ધાંણધા રેલવે ફાટક સમારકામ અને જાળવણીના કામને કારણે 36 કલાક માટે બંધ રહેશે. અમદાવાદ રેલવે વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ હિંમતનગર અને ઇડર વચ્ચે કિલોમીટર 6/1-2 પર આવેલું આ રેલવે ક્રોસિંગ નંબર 86A (મહેતાપુરાના ધાંણધા) 8 ડિસેમ્બર, 2025ના રોજ સોમવારે સવારે 09:00 વાગ્યાથી 9 ડિસેમ્બર, 2025ના રોજ મંગળવારે રાત્રે 21:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફાટક બંધ હોવાથી માર્ગનો ઉપયોગ કરનારા લોકો મહેતાપુરા NG સર્કલ થઈને મહેતાપુરા RTO રોડ દ્વારા હિંમતનગર-ઇડર બાયપાસ રોડનો ઉપયોગ કરી શકશે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અંતિમ તબક્કામાં છે અને આગામી સમયમાં PCEE (પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર) દ્વારા નિરીક્ષણ થવાની શક્યતા છે. આ કામગીરીના ભાગરૂપે ફાટકનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 3:43 pm

અનોખી વિશેષતાઓને કારણે કચ્છના ભૂંગા દેશ-વિદેશમાં લોકપ્રિય:ભૂકંપ, ગરમી અને ઠંડી સામે આપે છે રક્ષણ, રણોત્સવને કારણે કારીગરોની કમાણી વધી

કચ્છના બન્ની વિસ્તારના પરંપરાગત ભૂંગા તેમની અનોખી વિશેષતાઓને કારણે દેશ-વિદેશમાં લોકપ્રિય બન્યા છે. આ ગોળાકાર, ઇકો-ફ્રેન્ડલી ભૂંગા ઠંડી અને ગરમીમાં કુદરતી વાતાનુકૂલિત તરીકે કામ કરે છે. ભૂકંપપ્રૂફ હોવા ઉપરાંત, તેઓ સ્થાનિક કારીગરો માટે કાયમી રોજગારીનો સ્ત્રોત બન્યા છે. રણોત્સવને કારણે ધોરડો અને આસપાસના ગામોમાં કલાત્મક હોમસ્ટે અને રિસોર્ટમાં ભૂંગાનો ઉપયોગ વધ્યો છે. હોડકો જેવા ગામોમાં આજે પણ લોકો 100 વર્ષથી પણ જૂના ભૂંગામાં રહેવાનું પસંદ કરે છે, જે તેમની ટકાઉપણું અને આરામદાયકતા દર્શાવે છે. ભૂંગા લાકડાં, છાણ અને દેશી ઘાસનો ઉપયોગ કરીને ગોળાકાર આકારમાં બનાવવામાં આવે છે. તેની દીવાલો માટી અને છાણના મિશ્રણથી લીંપવામાં આવે છે, જેના પર અરીસા જડીને ચિત્રોથી સજાવટ કરાય છે. શંકુ આકારનું છાપરું લાકડાં અને ઘાસથી બનેલું હોય છે, જેને દોરીઓથી મજબૂત કરાય છે. આ બાંધકામ ભૂંગાને દરેક ઋતુમાં તાપમાન સંતુલિત રાખવામાં મદદ કરે છે, ઉનાળામાં કુદરતી ઠંડક પૂરી પાડે છે. હોડકો ગામના સ્થાનિક કારીગરો ભૂંગા બનાવીને રોજગારી મેળવે છે. તેઓ માત્ર કચ્છમાં જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય શહેરો, મુંબઈ, દિલ્હી અને વિદેશોમાં પણ ભૂંગા બનાવવા માટે જાય છે. હોટલો અને રિસોર્ટમાં આકર્ષણ માટે પણ આ કારીગરોને ખાસ બોલાવવામાં આવે છે. હોડકા રણ સ્ટેના સંચાલક ભીમજી ખોયલાએ જણાવ્યું કે, કચ્છના ભૂંગાની બહારના વિસ્તારોમાં પણ ઘણી માંગ છે. સ્થાનિક કારીગરો ગુજરાત, મુંબઈ, દિલ્હી જેવા સ્થળોએ હોટલો, રેસ્ટોરાં અને ફાર્મ હાઉસમાં ભૂંગા તૈયાર કરવા જાય છે. સ્થાનિક સ્તરે એક ભૂંગો બનાવવાનો ખર્ચ આશરે 5 લાખ રૂપિયા થાય છે, જ્યારે બહારના વિસ્તારોમાં તે બનાવવાનો ખર્ચ 17 લાખ રૂપિયા સુધી પહોંચે છે. રણોત્સવ દરમિયાન આ વિસ્તારમાં પર્યટકોની હાજરી વિશેષ રહેતી હોય છે. શિયાળા દરમિયાન અહીં હજારો પ્રવાસીઓ આવતા હોય છે. આજ પ્રકારે સફેદરણ માણવા આવેલા એક વિદેશીને ભૂંગો પસંદ આવતા હોડકો ગામના સુમારભાઈને આવો જ ભુંગો જર્મનીના લાઈપઝીગ સિટીમાં બનાવી આપવા વાત કરી હતી, જેથી વર્ષ 2005માં જર્મનીના લાઈપઝીગ સિટીમાં આવેલા ગ્રાસી મ્યુઝિયમમાં પહોંચી સુમારભાઈએ કચ્છી ભુંગો બનાવી આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 3:38 pm

અડાસના ભૌતિક પારેખ ભારતીય સેનામાં જોડાયા:લખનૌમાં તાલીમ પૂર્ણ કરી શ્રીનગરમાં પોસ્ટિંગ મેળવ્યું, વતનમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ

આણંદ તાલુકાના અડાસ ગામના નરેન્દ્રભાઈ મફતભાઈ પારેખના એકના એક પુત્ર ભૌતિક પારેખ ભારતીય સેનામાં જોડાયા છે. તેમણે લખનૌ ખાતે કઠિન તાલીમ પૂર્ણ કરી શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)માં પોસ્ટિંગ મેળવ્યું છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ ભૌતિક પારેખ પોતાના વતન અડાસ ગામે પરત ફર્યા હતા. તેમના આગમન પર પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભૌતિક પારેખને ઘોડા પર બેસાડી સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. ડી.જે.ના તાલે નીકળેલી આ યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ સન્માન યાત્રામાં ભૌતિક પારેખના પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સૌએ દેશભક્તિના ગીતોના તાલે ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહેનત વગર કશું મળતું નથી : ભૌતિક પારેખભૌતિક પારેખ જણાવે છે કે, મેં લખનૌ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી છે. મને જમ્મુ એન્ડ કાશ્મીરના શ્રીનગર ખાતે પોસ્ટિંગ મળ્યું છે. નવયુવાનોને હું એટલું કહેવા માંગુ છું કે, તમે તમારી રીતે મહેનત કરો, ભરતીમાં ભાગ લો અને સિલેક્ટ થાવ તો દેશ સેવા માટે અવશ્ય જાવ. ટ્રેનિંગમાં મહેનત તો લાગે જ છે, મહેનત વગર કશું મળતું નથી. મને ખૂબ આનંદ અને ગર્વ છે : ભૌતિકના પિતાભૌતિકના પિતા નરેન્દ્રભાઈ મફતભાઈ પારેખ જણાવે છે કે, મારો એક નો એક પુત્ર દેશ માટે સેવા આપશે, તેનો મને ખૂબ આનંદ અને ગર્વ છે. મારી બહેને છાતી ઉપર પથ્થર મુકી એકના એક પુત્રને મીલેટ્રીમાં મોકલ્યો ભૌતિક નાં મામા જણાવે છે કે, મારી બહેનને એક જ ભાણો છે. છતાં મારી બહેને છાતી ઉપર પથ્થર મુકી ભૌતિકને મીલેટ્રીમાં મોકલ્યો છે. કારણ કે જો દેશની રક્ષા નહીં થાય તો આપણી પણ રક્ષા નહીં થાય. એટલા માટે મારો ભાણો ભારતીય સેના માં ભરતી થયો છે. મીલેટ્રીમાં જવા ઈચ્છુક નવયુવાનોને એટલું કહીશ કે, જો નપાસ થાવ તો ચિંતા કરશો નહીં, મારો ભાણો બે વાર નપાસ થયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 3:31 pm

ઓશવાળ આયુષ હોસ્પિટલનો ખુલાસો:PMJAY એક્સપર્ટની મંજૂરી બાદ જ સારવાર કરાઈ, દંડ સામે પક્ષ રજૂ કરશે

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલે PMJAY યોજના હેઠળના કથિત ગોટાળા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા દંડ અંગે સત્તાવાર ખુલાસો કર્યો છે. હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, 35 ઓપરેશન અંગે જે વાત સામે આવી છે, તે તમામ પ્રક્રિયા PMJAYના નિષ્ણાતોની મંજૂરી મેળવ્યા બાદ જ કરવામાં આવી હતી. હોસ્પિટલને ગઈકાલે બપોરે 12 કલાકે PMJAY યોજના તરફથી એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ દ્વારા ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટને પણ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PMJAY યોજના તરફથી 35 દર્દીઓ અંગે ક્વેરી આપવામાં આવી છે. આ અંગે હોસ્પિટલે સ્પષ્ટતા કરી છે કે, PMJAY યોજનાના પ્રોસેસ ફ્લો મુજબ કોઈપણ સારવાર માટે એક મંજૂરી પ્રક્રિયા હોય છે. હોસ્પિટલ દ્વારા આ 35 દર્દીઓમાં મંજૂરી પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. વધુમાં, કોઈપણ કાર્ડિયાક પ્રોસિજર પહેલાં એન્જીયોગ્રાફીના વીડિયો, જરૂરી રિપોર્ટ્સ વગેરે PMJAY યોજનાના પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે. PMJAYની નિષ્ણાત ટીમ આ રિપોર્ટ્સ અને વીડિયોની સમીક્ષા કર્યા બાદ જ સ્ટેન્ટ પ્રોસિજર માટે મંજૂરી આપે છે. હોસ્પિટલે જણાવ્યું કે, તેમણે દરેક દર્દીમાં PMJAY યોજનાની મંજૂરી આવ્યા બાદ જ આ પ્રોસિજરો કરી હતી. હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, સરકારી વિભાગ જ્યારે પણ તેમને બોલાવશે, ત્યારે તેઓ પોતાનો પક્ષ રજૂ કરશે. તેમની પાસે જરૂરી પુરાવાઓ, રિપોર્ટ્સ અને રેફરન્સ ઉપલબ્ધ છે, જે તેઓ સરકાર સમક્ષ રજૂ કરશે અને આ સસ્પેન્શન પાછું ખેંચી લેવા વિનંતી કરશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 3:25 pm

ડૉ. સુધીર જોશીએ દાહોદ મહિલા ITI માં આરોગ્ય માર્ગદર્શન આપ્યું:વિદ્યાર્થીનીઓને આરોગ્ય સંભાળ, દિનચર્યા અને જીવન કલા શીખવી

દાહોદ મહિલા ITI ખાતે એક હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયુષ અધિકારી ડૉ. સુધીર જોશીએ વિદ્યાર્થીનીઓને આરોગ્ય સંભાળ અને જીવન જીવવાની કલા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. જોશીએ વિદ્યાર્થીનીઓમાં સારી ટેવો કેળવવા અને શિક્ષણ સંબંધિત બાબતો પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે 'થ્રી આઈ' (ઇન્ફોર્મેશન, ઇન્સપિરેશન, ઇન્ટ્રોસ્પેક્શન) ના સિદ્ધાંતો સમજાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે આરોગ્ય સંભાળ, સારી દિનચર્યા અને જીવન જીવવાની કલા વિશે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, આધુનિક જીવનશૈલીમાં વધતા તણાવ અને તેના ટૂંકા તેમજ લાંબા ગાળાના માનસિક તથા શારીરિક પરિણામો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તણાવ નિવારણ માટેના વિવિધ ઉપાયો વિશે પણ વિદ્યાર્થીનીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડૉ. જોશીએ વિદ્યાર્થીનીઓને લિસનિંગ (શ્રવણ) અને ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) દ્વારા વ્યક્તિગત વિકાસના મહત્વ વિશે સમજાવ્યું હતું. તેમણે પોષણક્ષમ આહારની રોજિંદા જીવન પર થતી સકારાત્મક અસરો અને શારીરિક સ્વચ્છતાના આરોગ્યલક્ષી મહત્વ અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીનીઓ સાથે એક પ્રશ્નોત્તરી સત્ર યોજવામાં આવ્યું હતું. તેમને મૂંઝવતા આરોગ્યલક્ષી પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને કાર્યક્રમ અંગેના તેમના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 2:58 pm

ભરૂચમાં ભાજપે ડૉ.આંબેડકરને પરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિ આપી:રાજ્યકક્ષાના મંત્રીઓ અને કાર્યકરો પુષ્પાંજલિ કાર્યક્રમમાં જોડાયા

ભરૂચમાં 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા, ભરૂચ જિલ્લા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. રેલવે સ્ટેશન નજીક ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ અને હેમાલી બોધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેંક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનચરિત્ર, તેમના વિચારો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અસાધારણ યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રીઓએ રાષ્ટ્રીય દિશા નિર્માણમાં ડૉ. આંબેડકરની ભૂમિકાનો વિગતે ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુ પરમાર, બીપીન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 2:53 pm

નવાપરા-રુપાળી બા શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ:શિક્ષણ વિકાસ માટે બે દિવસીય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાત સરકારના શિક્ષણ વિકાસને વેગ આપવા માટે શરૂ કરાયેલા ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરની પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળા, છાયા અને મહારાણી રુપાળી બા કન્યા શાળા વચ્ચે દ્રિ-દિવસીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રુપાળી બા કન્યા શાળાની મુલાકાત લીધી હતી. શાળામાં પહોંચતા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાર્થીઓને વિવિધ વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ સહિત શાળાની વિશેષતાઓનું નિદર્શન કરાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ સુંદર નાટક પ્રસ્તુત કર્યું તેમજ વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામો આપવામાં આવ્યા હતા. બીજા દિવસે, રુપાળી બા કન્યા શાળાના વિદ્યાર્થીઓ નવાપરા પ્રાથમિક શાળા, છાયા ખાતે આવ્યા હતા. મુલાકાતની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભજનો, નાટકો, સ્વ-રક્ષણની પ્રવૃત્તિઓ તેમજ લેઝીમ-રાસની આકર્ષક પ્રસ્તુતિ કરી હતી. શાળાનું નિદર્શન, પ્રોજેક્ટ પ્રસ્તુતિ તેમજ સુંદર રીતે સજાવેલા વર્ગખંડોનું નિદર્શન પણ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું હતું. અંતે સુંદર રમતો રમાડવામાં આવી અને વિદ્યાર્થીઓને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે, આચાર્યા શ્રીમતી હીરલબેન દાસાએ બંને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં આવા વધુ શૈક્ષણિક અવસરોનું આયોજન કરવાની આશા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 2:49 pm

‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમનો શુભારંભ:જિલ્લાવાસીઓને ઉદાર હાથે ફાળો આપી વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા કલેક્ટરની અપીલ

સેનાના જવાનોના અપ્રિતમ સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવાના હેતુસર, દર વર્ષે વર્ષ 7 ડિસેમ્બરના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરેન્દ્રનગર ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના હસ્તે ફાળો એકત્રિત કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજદિનનું મહત્વ સમજાવતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આપણા સૈનિકો પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને રાષ્ટ્રના સર્વભૌમત્વનું રક્ષણ કરે છે. યુદ્ધની સ્થિતિ હોય કે શાંતિના સમયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ હોય, નાગરિકોની સુરક્ષા અને સહાયતા માટે આપણા જવાનો હંમેશા ખડે પગે સેવા બજાવે છે. આ ફરજ દરમિયાન અનેક જવાનો શારીરિક ક્ષતિનો ભોગ બને છે અથવા વીરગતિ પામે છે. આવા ઇજાગ્રસ્ત, નિવૃત કે શહીદ જવાનોના પરિવારોની પડખે ઊભા રહી તેમના પુનર્વસનમાં મદદરૂપ થવું એ આપણા સૌની સામાજિક જવાબદારી છે. વધુમાં જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે, આ વીર જવાનો અને તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે એકત્રિત કરવામાં આવતા આ ભંડોળમાં આત્મીયતા અને ઉદારતા સાથે યથાશક્તિ યોગદાન આપીએ અને આપણા જાંબાઝ જવાનો પ્રત્યે આદર અને સન્માનની લાગણી વ્યક્ત કરીએ. નાગરિકોએ દાન/ફાળો જમા કરાવવા માટે નીચે મુજબના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી અથવા બેંકમાં જઈને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં રકમ જમા કરાવી શકાશે. ખાતાનું નામ:-'કલેક્ટર અને પ્રમુખ એ.એફ.એફ.ડી. ફંડ એકાઉન્ટ, સુરેન્દ્રનગર’બેંકનું નામ:-સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, વાદીપરા બ્રાન્ચ, સુરેન્દ્રનગરખાતા નંબર:- 42362667719IFSC Code:- SBIN0060101

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 2:48 pm

પોરબંદરમાં ‘Arise, Awake’ ક્વિઝ સ્પર્ધા:રામકૃષ્ણ મિશન દ્વારા આયોજિત સ્પર્ધામાં હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પોરબંદર સ્થિત રામકૃષ્ણ મિશન દ્વારા ‘Arise, Awake: The Swami Vivekananda Challenge!’ નામની ક્વિઝ અને વ્યક્તિત્વ વિકાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદના જીવનમૂલ્યો અને વ્યક્તિત્વ નિર્માણનો સંદેશ યુવા પેઢી સુધી પહોંચાડવાનો હતો. પોરબંદરની 15થી વધુ શાળાઓમાંથી કુલ 2600થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના દેશપ્રેમ, સંકલ્પશક્તિ, આધ્યાત્મિકતા, સ્વવિશ્વાસ અને સેવાભાવ જેવા મૂલ્યોથી પરિચિત કરાવવાનો હતો. પ્રશ્નોતરી દ્વારા સ્વામીજીના જીવનપ્રસંગો, ચિંતન, સમાજસેવા, યુવાશક્તિના માર્ગદર્શન અને આધ્યાત્મિક અભિગમને આવરી લેવામાં આવ્યા હતા. દરેક શાળા અને કેટેગરીમાંથી શ્રેષ્ઠ ત્રણ વિજેતાઓની પસંદગી કરીને તેમને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. તમામ શાળાઓમાં હર્ષોલ્લાસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવન વિશે વધુ જાણવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન, રામકૃષ્ણ સંપ્રદાયના એક સંન્યાસીએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી વિચારો, જીવનપ્રસંગો અને આત્મનિર્ભરતા તરફ દોરી જતા ઉપદેશોથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ તેમના વચનોને ઉત્સાહપૂર્વક સ્વીકાર્યા અને વ્યક્તિત્વ વિકાસ તરફ પ્રેરતા સંદેશાઓથી પ્રભાવિત થયા હતા. આ સ્પર્ધાનો આગામી તબક્કો એ છે કે તમામ શાળાના વિજેતાઓ હવે રામકૃષ્ણ મિશન, પોરબંદર ખાતે યોજાનારી ઇન્ટરસ્કૂલ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે. વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ એક મંચ પર આવી સ્વામી વિવેકાનંદના જીવનમૂલ્યો આધારિત ક્વિઝ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધા કરશે. શાળાઓના પ્રાચાર્યો અને શિક્ષકોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા મૂલ્ય આધારિત કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સકારાત્મક વિચારધારા અને વ્યક્તિત્વ નિર્માણમાં અત્યંત સહાયક સાબિત થાય છે. ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું વધુ વિસ્તરણ થવું જોઈએ તેવી અભિવ્યક્તિ તેમણે કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 2:28 pm

રાજકોટમાં ઇતિહાસ રચાશે:કેવડિયા બાદ સૌપ્રથમ આવતીકાલે સૂર્યકિરણ ટીમનો એર શો સાથે 'આકાશગંગા'નાં જવાનો ચાલુ વિમાનથી જમ્પ કરશે, એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્રપ્રદર્શન, રિહર્સલ યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન સૂર્યકિરણ ટીમનો એર શો સાથે 'આકાશગંગા'નાં જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે. તેમજ એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્રપ્રદર્શન યોજાશે. ભારતીય વાયુસેનાનાં ચાર વિભાગોનું એકસાથે પ્રદર્શન એ એક ઐતિહાસિક ઘટના છે. અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ મનપાનાં પ્રયાસોથી રાજકોટને આ અનોખા કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળ્યો છે. આજે વાયુસેનાનાં જવાનોએ આ કાર્યક્રમની ફુલડ્રેસ રિહર્સલ કરી હતી. અને શસ્ત્રોનું પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ મેગા ઇવેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, IAF દ્વારા રાજકોટ માટે કુલ 5 વસ્તુઓ મંજૂર કરવામાં આવી છે. 7 મેના રોજ મુખ્ય કાર્યક્રમ છે. જેની આજે રિહર્સલ કરાઈ હતી. આ એર શોમાં ભારતીય વાયુસેનાની 4 પ્રવૃત્તિઓ એકસાથે યોજાઈ રહી છે, જે ખૂબ જ દુર્લભ ઘટના છે. કાર્યક્રમોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમનો ભવ્ય એર શો (સ્ટેટિક ડિસ્પ્લે સાથે), આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમનું હેલિકોપ્ટર દ્વારા પરફોર્મન્સ, એરફોર્સ બેન્ડનું પ્રદર્શન અને IAFના શસ્ત્રોનું સ્ટેટિક ડિસ્પ્લે સામેલ છે. પાર્કિંગ એરિયામાં મિસાઇલ લોન્ચરથી લઈને એરફોર્સના વિવિધ વેપન્સનું પ્રદર્શન 2 દિવસ માટે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળો અને ખાસ કરીને એરફોર્સમાં કારકિર્દી બનાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સુમેરાએ જણાવ્યું કે, રાજકોટમાં આવુ આયોજન પહેલીવાર થઈ રહ્યું છે, અને એકસાથે સૂર્યકિરણ, આકાશગંગા, બેન્ડ અને સ્ટેટિક ડિસ્પ્લેનું સંયોજન બહુ જ ભાગ્યે જ જોવા મળે છે. રાજકોટને આવું સન્માન આપવા બદલ તેમણે એરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મેગા ઇવેન્ટ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે તેઓ 1 લાખથી વધુ લોકોની ભીડની અપેક્ષા રાખી રહ્યા છે. આ માટે વ્યુઇંગ એરિયા, પાર્કિંગની જગ્યાઓ અલગથી નક્કી કરવામાં આવી છે. આખા વિસ્તારમાં સ્ક્રીન્સ અને સાઉન્ડ સિસ્ટમ્સ પણ લગાવવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં આવનારા બધા લોકોને કાર્યક્રમ જોવામાં અને સાંભળવામાં સરળતા રહેશે. પાર્કિંગ સહિતની તમામ વિગતવાર વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. સૂર્યકિરણ એરોબિટીક ટીમનાં ફ્લાઈટ લેફ્ટનન્ટ કમલ સંધુએ જણાવ્યું હતું કે, હું સૂર્યકિરણ એરોબેટિક ટીમની કોમેન્ટેટર છું. અમે ટીમની સાથે અહીં રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટના આકાશમાં 9 ફાઇટર જેટ્સ, જે ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ ફાઇટર પાઇલટ્સ દ્વારા ઉડાડવામાં આવશે, તેવું પહેલીવાર થવા જઈ રહ્યું છે.આ શો તમને આજે 11 વાગ્યાથી શરૂ થતો જોવા મળશે. તમને એવા એરોબેટિક સ્ટન્ટ્સ જોવા મળશે જે તમે આ પહેલાં ક્યારેય નહીં જોયા હોય. આ એરોબેટિક ડિસ્પ્લેને અંજામ આપનારા ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ ફાઇટર પાઇલટ્સ છે. તેઓએ 6 થી 8 મહિનાની કઠોર તાલીમ લીધી છે અને ખૂબ મહેનત કરી છે. જેના કારણે તેઓ આ શો કરવા માટે તૈયાર થયા છે. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે અમે અમારો શો શરૂ કરીએ. અહીં દર્શકો પણ વધુને વધુ સંખ્યામાં આવી રહ્યા છે. આજે અમારી પહેલી પ્રેક્ટિસ છે અને કાલે ફિનાલે છે, જે અહીં અટલ સરોવરના આકાશમાં રહેશે. આવતીકાલે શો સવારે 10 વાગ્યાથી શરૂ થઈ જશે, તેથી આપ સૌને વિનંતી છે કે સમયસર અહીં આવીને સ્થિત થઈ જાઓ અને આ એરોબેટિક શોનો આનંદ લો. તિરંગા સ્ટંટ વિશે તેઓએ જણાવ્યું કે, હાલમાં જ આ એરક્રાફ્ટ્સમાં મોડિફિકેશન થયું છે, જેનાથી તે આકાશમાં કલર્ડ સ્મોક (રંગીન ધુમાડો) દર્શાવે છે. આ કલર્ડ સ્મોક ભારતના તિરંગાના જ રંગોનો છે, અને તમે જોશો કે કેવી રીતે આ ફાઇટર જેટ્સ રંગીન ધુમાડાથી આકાશમાં ભારતનો તિરંગો લહેરાવશે. રાજકોટમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે, તેથી આ એક ઐતિહાસિક દિવસ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચશે અને પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કરવામાં આવશે. દર્શકો વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ્સ જેમ કે ડાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, અને ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અદ્ભુત સ્ટંટ્સ જોઈ શકશે. પાયલટ્સ માત્ર 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને તેમની ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન કરશે. આ 9 હોક વિમાનો આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવીને યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડશે. ભવ્ય એર શોનું રિહર્સલ યોજાયું ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શોનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત શહેરના નાગરિકોને પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું આકર્ષક લાઇવ પરફોર્મન્સ માણવાની પણ તક મળી હતી. ઉપરાંત, આ કાર્યક્રમમાં વધુ એક રોમાંચક આકર્ષણનો ઉમેરો થયો છે. જેમાં ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઇવ પ્રદર્શન પણ જોવા મળ્યું હતી. આ ટીમના જાંબાઝ જવાનોએ ઉડતા વિમાનમાંથી આશરે 8000 ફૂટની ઊંચાઈએથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવ્યા હતા, જે દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે. આજે કરાયેલા રિહર્સલ બાદ આવતીકાલે પણ એર શો અને આકાશગંગા ટીમના સ્કાયડાઇવિંગનાં કરતબો જોવા મળશે. અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તારમાં રવિવાર 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે આ ખાસ કાર્યક્રમ યોજાનાર છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં આજરોજ સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. આ દરમિયાન વાયુસેનાનાં જવાનોએ આકાશમાં અવનવા કરતબો દર્શાવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શહેરના નાગરિકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. જેમાં એર-શો અને શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે કોઈ ટિકિટ કે પાસની આવશ્યકતા નથી. આજે સવારે 10:00 કલાકે વેપન ડિસ્પ્લેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવતીકાલે રવિવારે યોજાનાર કાર્યક્રમો આવતીકાલે રવિવારે મુખ્ય કાર્યક્રમમાં એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ દ્વારા સ્વાગત કરાશે. બાદમાં C-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ થશે અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરવામાં આવશે. જમ્પ કરેલા જવાનોને હેલિકોપ્ટર MI-17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરીને એરલિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરશે અને અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શો યોજાશે. આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જશે. મુખ્ય કાર્યક્રમની વિશેષતાઓમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ 'Suryakiran Aerobatic Team' આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાયલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ એ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણોમાં રહેશે. આ ઉપરાંત, પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મિલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકના મુખ્ય વિભાગો રજૂ કરવામાં આવશે. રાજકોટ શહેર માટે ગૌરવનો વધુ એક ક્ષણ ઉમેરાતા ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાય ડાઈવિંગ ટીમ પોતાના આંખને ચમકાવી દે તેવા પ્રદર્શન સાથે હાજર રહેશે. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દેશ-વિદેશમાં અનેક વાર પોતાની કૌશલ્યપૂર્ણ હવાઈ કળાઓ માટે પ્રખ્યાત છે. ટીમના પેરાશૂટર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કરશે. આ કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થશે. ત્યારબાદ જમીન પર લેન્ડિંગ કરી ચૂકેલા પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરવામાં આવશે. નાગરિકોને કાર્યક્રમ નિહાળવામાં સરળતા રહે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં વિશેષ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ સીટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 17 થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીનના માધ્યમથી બહોળી સંખ્યામાં લોકો ઊભા રહીને કે ભારતીય બેઠક કરીને સમગ્ર પરફોર્મન્સ નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઇટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાશે. શહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઊભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઇવ પરફોર્મન્સ નિહાળી શકે તે માટે અટલ સરોવર ફરતે 30 થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરવામાં આવશે. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકો ભવ્ય એર-શો અને લાઇવ બેન્ડ માણી આનંદ મેળવી શકશે. આ ઉપરાંત, તા. 06 અને 07 ડિસેમ્બર એમ, બે દિવસ સુધી અટલ સરોવરના પાર્કિંગ પ્લોટમાં બપોરના 12 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એરફોર્સના સાધનો અને શસ્ત્રો નિહાળી શકાશે. આ બે દિવસ દરમિયાન લોકો ભારતીય વાયુસેનાના 'ગરુડ સ્પેશિયલ ફોર્સ' વિશે પણ માહિતી મેળવી શકશે, જેનું ગઠન 2004માં થયું હતું. ગરુડ કમાન્ડોની ટ્રેનિંગ અત્યંત પડકારજનક અને કઠિન હોય છે. આ ફોર્સ હાઇ રિસ્ક મિશન, કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન, રેસ્ક્યુ મિશન અને કુદરતી આપત્તિમાં રાહત તથા બચાવ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગરુડ ફોર્સનું સૂત્ર પ્રહાર સે સુરક્ષા છે. આ કાર્યક્રમ માટે ખાસ અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ 7 (A થી G) વ્યુ પોઈન્ટ અને 8 પાર્કિંગ પ્લોટ (પાર્કિંગ B, C અને D રિઝર્વ પાર્કિંગ તેમજ પાર્કિંગ A, E, F, G, H જનરલ પાર્કિંગ) નક્કી કરવામાં આવેલ છે. સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ. જાહેર સલામતી માટે લોકોને BRTSના રસ્તા ખાલી રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 2:26 pm

CMPICA માં “અગ્નિસિયો- ટાઈમ ટુ શો યોર ટેલેન્ટ” કાર્યક્રમનું આયોજન:15 શાળાઓના ધો. 11-12ના 2100થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું

ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (CMPICA) દ્વારા “અગ્નિસિયો (AGNITIO) - ટાઈમ ટુ શો યોર ટેલેન્ટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. સંસ્કૃતિ પટેલ (ડીન, FCA) અને ડૉ. ધર્મેન્દ્ર પટેલ (પ્રિન્સિપાલ, CMPICA) ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 15 શાળાઓના 2100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધોરણ 11 અને 12ના વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ ઉપરાંત, કમ્પ્યુટર એપ્લિકેશન્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ તકો અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટિટ્યુટ પ્રેઝન્ટેશન દ્વારા CMPICAની સિદ્ધિઓ, આધુનિક સુવિધાઓ, પ્લેસમેન્ટની તકો, સ્કોલરશિપ અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ કેમ્પસની મુલાકાત લઈને સંસ્થાની સુવિધાઓનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. તેમણે ચારુસેટ એજ્યુકેશન એક્સ્પોની પણ મુલાકાત લીધી, જેથી 12મા ધોરણ પછી યોગ્ય કારકિર્દી પસંદગી કરી શકે. કાર્યક્રમ દરમિયાન ક્વિઝ, થીમ આધારિત પેઈન્ટિંગ અને વૈજ્ઞાનિક પ્રોજેક્ટ મોડેલ પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ફેકલ્ટી સભ્યોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કારકિર્દી માર્ગદર્શન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 2:09 pm

વધુ એક લંપટ શિક્ષક સામે ફરિયાદ:વડોદરા જિલ્લાના જરોદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાનો આરોપ, જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક દ્વારા 13 વર્ષની વિદ્યાર્થિની સાથે અડપલાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપી શિક્ષકે બપોરે રિસેસના સમયે વિધાર્થીની સાથે અડપલા કર્યા હતા તેમજ અગાઉ રક્ષાબંધન પર્વના દિવસે પણ વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે જરોદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી શિક્ષકનું નામ પ્રગ્નેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ (હાલ રહે. હાલોલ) જરોદની સરકારી હાઇસ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદી વિદ્યાર્થિના પિતાએ જણાવ્યું હતું કે, તા. 3 ડિસેમ્બર, 2025ના બપોરે 1:30થી 2 વાગ્યા દરમિયાન રિસેસના સમયે તેમની દીકરી પ્રિન્સિપાલ ઓફિસ પાસે લોબીમાં સહેલીઓ સાથે ઊભી હતી. તે વેળાએ આરોપી શિક્ષકે ખરાબ ઇરાદે તેના બરડાના ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી. તેની સાથે જ અગાઉ રક્ષાબંધનના એક દિવસ પહેલાં વિદ્યાર્થિની રાખડીઓ બનાવતી હતી, ત્યારે આરોપીએ તેના બંને હાથ પકડીને પણ અયોગ્ય વર્તન કર્યું હતું. આ બાબતે વિધાર્થીનીના પિતાએ પોતાના સગાઓ સાથે મળીને શાળાના આચાર્ય પાસે ફરિયાદ કરી હતી. આચાર્યએ સોમવારે શાળા સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરીને પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ફરિયાદીને શાળા વ્યવસ્થા કે સમિતિ પર વિશ્વાસ ન હોવાથી તેમણે સીધેસીધું જરોદ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી છે. જરોદ પોલીસે આરોપી શિક્ષક પ્રગ્નેશકુમાર પટેલ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 75(2) તેમજ પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ત્રણેક દિવસમાં વડોદરા શહેર તેમજ જિલ્લામાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની આ બીજી ઘટના છે, જેના કારણે શિક્ષણ જગતમાં ફરી એકવાર ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 2:05 pm

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો મામલો:મનોજ સોરઠીયાએ કહ્યું- 'સૌરાષ્ટ્રમાં ગોપાલની લોકપ્રિયતા જોઈ ભાજપ-કોંગ્રેસનું ષડયંત્ર, હુમલાઓને AAP આભૂષણ સમજીને સ્વીકારશે'

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે જામનગરમાં AAP નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આ ઘટના પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગુજરાતમાં AAPને રોકવાના સતત પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. 'હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન'મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર તાજેતરમાં AAPમાં જોડાતા કોંગ્રેસ માટે અહીં કોઈ ગ્રાઉન્ડ બચ્યું નથી. આ કારણે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ હુમલાનું કાવતરું રચ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન હતું. હુમલાખોર પર જ પોલીસની નજર હતી. ઈશારો થતાની સાથે જ પોલીસ તાત્કાલિક હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી. પોલીસની ફરજ MLAની સુરક્ષાની હોય છે, પરંતુ અહીં ઊલટું જોવા મળ્યું. એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને કેટલું લાગ્યું તે પૂછ્યું નહીં. આ પણ વાંચો: જામનગરમાં કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી ગોપાલ ઇટાલિયા પર જૂતાનો છુટ્ટો ઘા કર્યો હુમલાઓને AAP 'આભૂષણ સમજીને સ્વીકારશે': મનોજ સોરઠીયામનોજ સોરઠીયાએ દાવો કર્યો કે, ગુજરાતમાં AAP આગળ વધી રહી છે, જેના કારણે બંને પાર્ટીઓના 'પેટમાં તેલ રેડાયું' છે. તેમણે નર્મદા, ભરૂચ, ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર AAPના કાર્યકર્તાઓ પર હુમલાઓ થતા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ ઘટનાને જનતા સામાન્ય ઘટના તરીકે ગણતી નથી અને AAP આ બાબતે સતત સંઘર્ષ કરશે. હુમલાઓને AAP 'આભૂષણ સમજીને સ્વીકારશે' તેમ તેમણે જણાવ્યું હતું. કેજરીવાલ ગુજરાતના પ્રવાસે, 2 દિવસ રાજકોટમાં રોકાશેઆ ઘટનાક્રમ વચ્ચે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર આવશે અને બે દિવસ રાજકોટમાં જ રોકાશે. આ પ્રવાસ દરમિયાન જામનગરની ઘટના બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવશે, સાથે જ BLOની વેદના અને આપઘાત કરનાર ખેડૂત તેમજ હદદળમાં છૂટેલા ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. ગોપાલ ઇટાલિયા પર ભ્રષ્ટાચારના આરોપનો ઇનકારસોરઠીયાએ સ્પષ્ટતા કરી કે, ગોપાલ ઇટાલિયા પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. જ્યારે તેમણે અગાઉ ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું, ત્યારે તેઓ ગુજરાતની સિસ્ટમ અને પરિસ્થિતિથી નારાજ હતા અને લોકોના હિતની વાત કરવાના હતા. AAP અને કોંગ્રેસના ગઠબંધન પરના સવાલ પર મનોજ સોરઠીયાએ સ્પષ્ટ કર્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં 'ઇન્ડિયા' ગઠબંધન હેઠળ એક સમયે સાથે હતા, પણ હવે AAP ઇન્ડિયા અલાયન્સ સાથે નથી. તેમણે કહ્યું કે, આજે AAP કોંગ્રેસ કરતાં આગળ વધીને લોકોની પસંદગી બની છે, જેના કારણે કોંગ્રેસને પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:50 pm

નાસ્તા ફરતાં આરોપીને જૂનાગઢ SOGએ વડોદરાથી દબોચ્યો:હથિયારના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર હતો

​જૂનાગઢ SOGએ ફરી એકવાર પોતાની સતર્કતા અને ટેકનિકલ કુશળતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ શહેર બી ડિવિઝનમાં હથિયારના ગંભીર ગુનામાં છેલ્લા સાત વર્ષથી કાયદાની પકડમાંથી નાસતા ફરતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. 7 વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયોSOG પીઆઈ આર.કે. પરમાર દ્વારા આરોપીને શોધવા માટે ટીમ બનાવવામાં આવી હતી. આ દરમિયાન, SOGના એ.એસ.આઇ. રમેશભાઈ માલમ અને પો.કોન્સ. અરવિંદભાઈ વાવેચાને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમી મળી હતી કે હથિયારના ગુનામાં સંડોવાયેલો જૂનાગઢનો દીપેશ ઉર્ફે દીપુ રસીકલાલ મોહનલાલ વાઘેલા વડોદરા ખાતે છુપાયેલો છે. આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયોઆ બાતમીના આધારે SOGની ટીમે વડોદરા ખાતે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે તેને જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીને શોધ્યોજૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાના આદેશ થી SOGની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો સુચારુ ઉપયોગ કરીને વર્ષો જૂના કેસના આરોપીને શોધી કાઢ્યો. આ સફળ કામગીરી એ વાતનો પુરાવો છે કે પોલીસ તંત્ર ગુનાખોરીને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે સતત પ્રયત્નશીલ છે અને ગુનેગાર ભલે ગમે તેટલો સમય છુપાઈ રહે, કાયદાના હાથમાંથી બચી શકતો નથી. આ સમગ્ર સફળ કામગીરીમાં SOGના પીઆઈ આર.કે. પરમાર, એ.એસ.આઇ રમેશભાઈ માલમ, પો.હેડ કોન્સ. અનિરુદ્ધભાઈ વાંક અને પો.કોન્સ. અરવિંદભાઈ વાવેચા સહિતના સ્ટાફે યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:43 pm

અકસ્માત કરીને મૃત્યુ નીપજાવવા બદલ 1 વર્ષની કેદ:15 વર્ષની સગીર ખાટલામાં સૂતો હતો અને ગાડી અથડાવી, સગીરનું મૃત્યુ નીપજ્યું અને 4 વર્ષના બાળકને ઇજા પહોંચી

વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં મૂળ બિહારના મોનુકુમાર તેલીએ બેદરકારી પૂર્વક ગાડી હંકારીને ખાટલામાં સૂતા 15 વર્ષીય સગીરને અથડાવતા સારવાર દરમિયાન સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં સુતા 4 વર્ષના બાળકને ઈજા પહોંચી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને 6 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીનો વ્યક્તિની હત્યા કરવાનો ઈરાદો ન હોવાવથી સાઅપરાધ મનુષ્યવધનો ગુનો લગાડવામાં આવ્યો ન હતો. ગાડી ચડાવી દેતા ખાટલા અને ગાડી વચ્ચે સગીર ફસાયોવર્ષ 2024ના એપ્રિલ મહિનામાં I ડિવિઝન પોલીસ મથકે મૂળ બિહારના એક પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો 15 વર્ષીય સગીર પુત્ર તેના 4 વર્ષીય ભાઈ સાથે સિંગરવા ખાતે ઘરની બહાર ખાટલામાં સૂતો હતો. ત્યારે આરોપી મૂળ બિહારના મોનુકુમાર તેલીએ બેદરકારી અને પૂરઝડપે મહિન્દ્રા XUV ગાડી ખાટલા સાથે અથડાવતા તેમનો દીકરો ખાટલા અને ગાડી વચ્ચે દબાઈ ગયો હતો. નાના 4 વર્ષીય દીકરાને પણ ઇજાઓ થઈ હતી. આંતરિક ઈજા અને શોકના કારણે સગીરને મૃત જાહેર કર્યોઆરોપીની ગાડીમાં જ દીકરાને સિંગરવા હોસ્પિટલ લઈ જવાયો હતો. જે હોસ્પિટલે મોટા 15 વર્ષીય દીકરાને આંતરિક ઇજાઓ અને શોકને કારણે મૃત જાહેર કર્યો હતો. આરોપી સામે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલતા 9 સાહેદ અને 7 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ એમ.એસ.શેખની દલીલોને આધારે આરોપીને કોર્ટે 1 વર્ષની કેદ અને કુલ 6 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરોપી સામે 304A કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈઉલ્લેખનીય છે કે, આરોપી સામે 304A કલમ લાગી હતી. જે મુજબ કોઈનું મૃત્યુ બેદરકારી પૂર્વકના કાર્યને લઈને થાય. જેમાં વ્યક્તિનો હત્યાની નીપજાવવાનો ઇરાદો હોતો નથી. આ કલમ અંતર્ગત મહતમ 2 વર્ષની સજાની જોગવાઈ છે. જેમાં સાઅપરાધ મનુષ્યવધનો ગુનો લાગુ પડતો નથી કે જેમાં મહતમ 10 વર્ષની સજાની જોગવાઈ છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:42 pm

વિરપુરનો યુવક ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાયો:ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત, દેશભક્તિના ગીતો સાથે બાઈક રેલી કઢાઈ

પાલનપુર તાલુકાના વિરપુર ગામે સચિન દિનેશકુમાર ઠાકોર ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાયા છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના માદરે વતન વિરપુર પરત ફર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ધનિયાણા ચોકડીથી વિરપુર ગામ સુધી ડી.જે.ના તાલે દેશભક્તિના ગીતો સાથે ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી. ગામમાં પ્રવેશતા જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સચિન ઠાકોર વિરપુર ગામના ઠાકોર સમાજમાંથી ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ યુવાન છે. તેમણે સૈન્યમાં જોડાઈને ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:40 pm

શ્વાન કરડવાથી બચવા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા:ભાવનગર ઝોનની 28 નગરપાલિકાઓ હેઠળ 8117 વિદ્યાર્થીઓને આવરી લેવાયા

ભાવનગર ઝોન હેઠળની ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા શાળાઓમાં શ્વાન કરડવાથી બચવા માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જાહેર આરોગ્ય સુધારવા માટે નગરપાલિકાઓ અને શિક્ષણ વિભાગની આ સંયુક્ત પહેલ છે. આ કાર્યક્રમ ભાવનગર જિલ્લાની 6, અમરેલીની 10, ગીર સોમનાથની 5 અને જૂનાગઢ જિલ્લાની 7 નગરપાલિકાઓના હદ વિસ્તારમાં આવેલી તમામ સરકારી, અર્ધસરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે હતો. કુલ 28 નગરપાલિકાઓ દ્વારા 'એનિમલ બર્થ કંટ્રોલ (ડોગ) રૂલ્સ, 2023'ના અસરકારક અમલ અને સર્વોચ્ચ અદાલત તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચનાઓ અનુસાર આ પહેલ કરાઈ છે. આ નિર્દેશોના પાલનરૂપે, ભાવનગર ઝોનની કુલ 72 શાળાઓમાં વ્યાપક જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેમાં 8117 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા. શાળાના આચાર્ય, શિક્ષકો અને નગરપાલિકાના સેનિટેશન શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વિદ્યાર્થીઓને શ્વાન કરડવાથી બચવા માટેની કાળજી, કરડ્યા પછી શું કરવું અને શું ન કરવું તેની ઊંડી સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જણાવાયું હતું કે શ્વાન કરડે કે નહોર વાગે ત્યારે તે ભાગને વહેતા પાણીમાં સાબુથી સતત સાફ કરવાથી વાયરસની અસર ઓછી થાય છે. વિદ્યાર્થીઓને કોઈ પણ ગામઠી ઉપચાર કર્યા વિના તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચીને સારવાર લેવા અને જરૂરી રસીકરણ કરાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ભાવનગર ઝોનની નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવેલું આ જાગૃતિ અભિયાન માનવ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા તેમજ જાહેર આરોગ્યને મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ (એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા) ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ કાર્યરત એક રાષ્ટ્રીય સંસ્થા છે, જે 1962માં પ્રિવેન્શન ઑફ ક્રૂએલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટની જોગવાઈઓથી સ્થાપિત થઈ હતી. બોર્ડ દેશભરમાં પ્રાણીઓના કલ્યાણ માટે નીતિઓ, માર્ગદર્શિકાઓ અને જાગૃતિ અભિયાન તૈયાર કરે છે, તેમજ પ્રાણી આશ્રયગૃહો, એનજીઓ અને રેસ્ક્યુ સેન્ટરોને સહાય આપે છે. ફિલ્મોમાં પ્રાણીઓના ઉપયોગ માટે “નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ” આપવાનું પણ આ બોર્ડનું મહત્વપૂર્ણ કાર્ય છે. પ્રાણીઓ પર અત્યાચાર ઘટાડવા, માનવતા આધારિત વ્યવહાર સ્થાપિત કરવા અને પ્રાણી સંરક્ષણ સંબંધિત કાનૂની અમલવારીમાં સહકાર આપવાનો બોર્ડનો મુખ્ય ધ્યેય છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:39 pm

કેજરીવાલ શનિવારથી ત્રણ દિવસ રાજકોટની મુલાકાતે:બોટાદની સભામાં થયેલી બબાલ બાદ જેલમાં બંધ આપના નેતાઓ સાથે મુલાકાત કરશે, AAPનું સૌરાષ્ટ્ર પર ફોકસ વધ્યું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેજરીવાલ વધુ એકવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ 7 ડિસેમ્બરથી ત્રણ દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 7.15 ની ફ્લાઈટમાં તેઓ દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ફોર્ચ્યુંન હોટલમાં તેમનું રોકાણ છે. 9 ડિસેમ્બર સુધી તેમનું રોકાણ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન તેઓ ખેડૂતો અને અગાઉ બોટાદમાં થયેલી સભામાં જેઓની ધરપકડ કરવામાં આવેલી છે તેઓને જેલમાં મળશે. રાજકોટ જેલમાં અંદાજે 30 જેટલા કેદીઓ છે જેમની તે વખતેની સભા બાદ ધરપકડ થઈ હતી. જોકે તેમનો ફાઈનલ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હવે જાહેર થશે. 31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના સુદામડામાં ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી12 ઓક્ટોબરના દિવસે બોટાદના હડદડ ગામમાં કડદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની મહાપંચાયત દરમિયાન અચાનક પથ્થરો થવા લાગ્યો હતો જેમાં પોલીસે અને ખેડુતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીએ સરકાર સામે બાયો ચડાવી દીધી છે. ગુજરાતમાં ખેડૂતો પર શોષણ થતું હોવાના આરોપ સાથે તેમને ન્યાય અપાવવા માટે સુરેન્દ્રનગરના સુદામડામાં 31મી ઓ્કટોબરે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. આ સમાચાર પણ વાંચોઃ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતાં મામલો બિચક્યો જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:38 pm

હવે એક્જ ક્લિક પર મળશે રાજ્ય સરકારના સરકારી દસ્તાવેજો:તમામ કાયદા-નિયમો માટે બનશે AI આધારિત સેન્ટ્રલ પોર્ટલ, પાંચ દિવસમાં વિભાગોને ડેટા અપડેટ કરવા આદેશ

રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને માહિતીની સરળતા વધારવા માટે એક મોટો પગલું ભરાયું છે. સરકાર હવે બધા કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામાં અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા એઆઈ (AI) આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ પોર્ટલને કાર્યક્ષમ બનાવવા માટે, તમામ વિભાગોને પાંચ દિવસની અંદર તમામ સરકારી દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો ગુગલ શીટમાં અપડેટ કરવા તાકીદના આદેશો આપવામાં આવ્યા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી કાર્યાલયે દરરોજ પ્રગતિની સમીક્ષા શરૂ કરી દીધી છે. તમામ વિભાગોને જરુરી માહિતી આપવા સૂચના આપવામાં આવીરાજ્ય સરકારના તમામ વિભાગોને પોર્ટલ માટે જરુરી માહિતી પૂરી પાડવા જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક વિભાગને તાત્કાલીક આ કામગીીર પૂર્ણ કરવા આદેશ કરાયો છે. જેમાં બધા કાયદા / નિયમ / GR / પરિપત્રોની માહિતી અપડેટ કકવા, જૂના, રદ કરાયેલા અને બિનઅસરકારક દસ્તાવેજો દૂર કરવા, મહત્વના અને અપલોડ ન થયેલા ઠરાવો ઉમેરવા આદેશ કરાયો છે. AI આધારિત પોર્ટલથી લોકોને આંગળીના ટેરવે માહિતી મળશેસેન્ટ્રલ પોર્ટલના આધારે સામાન્ય નાગરિકને જરુરી દસ્તાવેજની જ્યારે જરુર પડે ત્યારે એક ક્લિકમાં મળી રહેશે. સરકારના નિર્ણયોમાં ટ્રાન્સપરન્સી અને જવાબદારી વધશે. બેવડાં ઠરાવો અને ગૂંચવણ દૂર થશે. એઆઈ આધારિત સર્ચથી ઝડપી અને ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે. સૂત્રો અનુસાર, CMO દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે અને દૈનિક મોનિટરિંગ થઈ રહ્યું છે, તેથી વિભાગો ભારે દોડધામમાં લાગી ગયા છે. આ પોર્ટલ શરૂ થયા પછી રાજ્યના તમામ કાયદા અને શાસન નિર્ણયો એક જ પ્લેટફોર્મ પર, સરળ શોધ વ્યવસ્થા સાથે, ઉપલબ્ધ થઈ જશે — જે ભારતમાં અનોખો પ્રયાસ બની શકે છે. અત્યાર શું વ્યવસ્થા છે અને પોર્ટલ બન્યા બાદ શું ફેરફાર થશે?ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા થતા ઠરાવ, પરિપત્ર, જાહેરનામાની કોપી કે વિગત જોઈતી હોય તો અત્યારે જે તે વિભાગની વેબસાઈટ પર જવું પડે છે અને ત્યાંથી તે માહિતી મેળવવી પડે છે. અરજદારે જે કોઈ વિભાગની માહિતી જોઈતી હોય તે વિભાગની વેબસાઈટ પર જવું પડતું હોય છે. જે હવે AI આધારિત પોર્ટલ શરૂ થયા બાદ તમામ વિભાગની માહિતી એક જ જગ્યાએથી મળી રહેશે. અરજદારે રાજ્ય સરકારના વિભાગો કે બોર્ડ નિગમના જે પણ સરકારી દસ્તાવેજની જરુર હશે તે એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:17 pm

ભરૂચમાં 4 કરોડની પાણીની ટાંકીનું લોકાર્પણ:નલ સે જલ યોજના હેઠળ સ્થાનિકોને શુદ્ધ પાણી મળશે

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના – જનભાગીદારી યોજના (નલ સે જલ) અંતર્ગત રૂ. 4 કરોડના ખર્ચે નિર્મિત 'જે.બી. મોદી પાર્ક તથા ડુંગરીણી ઊંચી ટાંકી'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટાંકીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરના પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે, જેનાથી સ્થાનિક વિસ્તારમાં પાણી સપ્લાય સિસ્ટમમાં સુધારો થશે. આ ટાંકીનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ સહિત અનેક આગેવાનો, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી ટાંકી કાર્યરત થવાથી સ્થાનિકોની લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યા હળવી થશે. આસપાસના રહેવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે, જેનાથી પાણી પુરવઠાની અડચણો દૂર થશે. સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યનું સ્વાગત કર્યું છે. આ યોજના ભરૂચ શહેરના પાણી પુરવઠા નેટવર્કમાં ગુણવત્તાસભર સુધારો લાવશે. આગામી સમયમાં નગરપાલિકાના અન્ય જળવ્યવસ્થા પ્રોજેક્ટોને પણ આનાથી વેગ મળશે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:14 pm

વલસાડમાં 79મો હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાયો:શહેરમાં રેલીનું આયોજન કરાયું, સેવાઓની માહિતી અપાઈ

વલસાડ જિલ્લામાં હોમગાર્ડનો 79મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત વલસાડ હોમગાર્ડ કચેરી ખાતે મહિલા ઓફિસર નિધિબેન જી. કવૈયાના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ એક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી વલસાડ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા હોમગાર્ડ જવાનો જોડાયા હતા. રેલી દરમિયાન, હોમગાર્ડ સ્ટાફ દ્વારા શહેરના નાગરિકોને હોમગાર્ડ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર અને અન્ય અધિકારીઓએ જવાનોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉજવણીમાં અધિકારીઓ અને જવાનોમાં દેશસેવા પ્રત્યે નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:13 pm

પંજાબથી સુરત જતો લાખો રુપિયાનો દારૂ ઝડપાયો:પાટણમાં LCBએ બેસનના કટ્ટાની આડમાં જતા 77.11 લાખના દારૂના જથ્થા સાથે એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ

પાટણ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાટણે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ₹77.11 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી છે, જેમાં કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB પાટણની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પંજાબ રાજ્યમાં ઉત્પાદિત વિદેશી દારૂની કુલ 16,427 બોટલો RJ-27-GB-9889 નંબરના કન્ટેનર ટ્રકમાંથી મળી આવી હતી. દારૂના આ મોટા જથ્થાને ટ્રકમાં બેસનના 684 કટ્ટા (જેમાં ભૂસું ભરેલું હતું) ની આડમાં ખોટા બિલ બનાવીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ ઓપરેશનમાં દારૂ, કન્ટેનર ટ્રક, બેસનના કટ્ટા, એક મોબાઈલ ફોન (₹5,000/-), રોકડ ₹2,150/- અને બેસનના કટ્ટાઓના ઇન્વોઇસ બિલ સહિત કુલ ₹1,02,38,438/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં કાલુખાન સુગનેખાન ચોથાખાન જાતે મીર (મુસ્લિમ), રહે. ફતેગઢ, મુસલમાનની વસ્તી, તા. ફતેગઢ, જિ. જેસલમેર (રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ડ્રાઈવર આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે દારૂનો આ જથ્થો પંજાબથી ભરીને સુરત પહોંચાડવાનો હતો. આ કેસમાં પ્રકાશપુરી સ્વામી (મહારાજ), રાજુરામ બિશ્નોઇ (રહે. બાડમેર), કન્ટેનર ટ્રક નંબર RJ-27-GB-9889 નો માલિક હેમારામ મગનારામ પુનીયો અને સુરત ખાતે માલ મંગાવનાર અજાણ્યો ઇસમ સહિતના અન્ય આરોપીઓ હજુ ફરાર છે. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:12 pm

અમરેલીમાં મધરાતે મારામારી:યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ, સારવાર માટે રાજકોટ ખસેડાયો

અમરેલી શહેરમાં મોડી રાત્રે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી રાજુભાઈ કૈલાશભાઈ ભાભરે આરોપી સંતોષ ભાયદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, એક યુવકે તેની બાજુમાં રહેતા વ્યક્તિની પુત્રીને ભગાડી હતી. આ બાબતે પાડોશીનો સાળો સંતોષ ભાયદીયા ઝૂંપડા પાસે ઝઘડો કરવા આવ્યો હતો. ફરિયાદી રાજુભાઈ અને તેમના ભાઈ ટીકુ કૈલાશભાઈ ભાભર ત્યાં પહોંચ્યા હતા. આરોપી સંતોષે તેમને ગાળો ભાંડી હતી, જેનો વિરોધ કરતા સંતોષે ઉશ્કેરાઈને બંને પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટીકુ ભાભરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ ટીકુ ભાભરને તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી મોડી રાત્રે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી સંતોષ ભાયદીયાની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:09 pm

શિક્ષણ બોર્ડના નવા ટાઇમ-ટેબલથી 12 સાયન્સના મેડિકલ વિદ્યાર્થીઓને મૂશ્કેલી:વાલીએ કહ્યું, બોર્ડની પરીક્ષા મોડી પૂર્ણ, NEETની એક્ઝામ વહેલી લેતા તૈયારીના 7 દિવસ ઘટ્યા, બોર્ડ શેડ્યૂલમાં ફેરફાર કરે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે પેપર રાખવામાં આવ્યા બાદ ભૂલ સુધારી રિવાઇઝ્ડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું. જોકે તેમાં ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓની પરીક્ષા 13ને બદલે 16 માર્ચે પૂર્ણ થઈ રહી છે અને આ વખતે મેડિકલના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એડમિશન માટેની NEETની પરીક્ષા 4ને બદલે 3મે ના લેવાઈ રહી છે. NEET એક્ઝામ વહેલી લેવાતા વિદ્યાર્થીઓને તૈયારીના 7 દિવસ ઘટ્યાગત વર્ષે બોર્ડની પરીક્ષા 10 માર્ચે જ પૂર્ણ થઈ ગઈ હતી. જેથી ગત વર્ષની તુલનામાં આ વખતે NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને રીવિઝન માટેનો 7 દિવસનો ઓછો સમય મળશે. NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને 80 ચેપ્ટર ભણવાના આવતા હોય છે. જેમાં તેઓ દરરોજના એવરેજ 5 ચેપ્ટર રીડિંગ કરતા હોય છે એટલે સાત દિવસના 35 ચેપ્ટરનું રિમિશન લઈ થઈ શકે. જેથી વાલીઓ માંગ કરી રહ્યા છે કે મેડિકલના વિદ્યાર્થીઓને તેના જીવનની સૌથી મોટી અને મહત્વની ગણાતી આ પરીક્ષામાં રીડિંગ માટેનો વધુ સમય મળે તે માટે બોર્ડની પરીક્ષાના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવે. બાયોલોજીનું પેપર 4 માર્ચના બદલે 16 માર્ચે રહેશેરાજકોટના વાલી મેઘાબેને જણાવ્યું હતું કે, મારો પુત્ર ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાનું રીવાઈઝડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું બાયોલોજીનું પેપર 4 માર્ચના લેવાનું નક્કી કરાયું હતું. તે રિ-શેડયુલ કરી 16 માર્ચના લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 3મે ના NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને રિવિઝનનો સમય ઘટ્યોજેને લીધે દર વર્ષે બોર્ડની પરીક્ષા 10 કે 11 માર્ચે પૂરી થઈ જતી હોય છે તે આ વર્ષે 16મી માર્ચે પૂર્ણ થશે. આ સાથે જ NEETની પરીક્ષા કે જેના આધારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મળતું હોય છે તે એક્ઝામ પણ 4ને બદલે 3મે ના રોજ લેવાશે. જે થોડી વહેલી છે અને તેને કારણે વિદ્યાર્થીઓને રિવિઝનનો સમય ઘટી ગયો છે. 12 સાયન્સ પરીક્ષાની તારીખોમાં થોડો ફેરફાર કરવા વાલીની માગતેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે નીટની પરીક્ષામાં એક માર્ક ઓછો હોય તો પણ હજારો રેન્કનો ફર્ક પડી જાય છે અને તેથી વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશમાં મુશ્કેલી પડે છે. જેથી ગુજરાત બોર્ડ અને સરકારને વિનંતી છે કે વિદ્યાર્થીઓને રીડિંગનો વધુ સમય મળે તે માટે ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તારીખોમાં થોડો ફેરફાર કરવામાં આવે. 'નીટની પરીક્ષાની તૈયારી માટે 7 દિવસનો ઘટાડો'જ્યારે અન્ય વાલી કિલોલભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. અમને ન્યુઝના માધ્યમથી ખબર પડી છે કે પહેલા ધોરણ 12 સાયન્સ બી ગ્રૂપનું પેપર 4 માર્ચના ધુળેટીના દિવસે હતું તે હવે બદલીને 16 માર્ચે રાખવામાં આવ્યું છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષા 10મી માર્ચ પૂરી થઈ ગઈ હતી અને નીટની પરીક્ષા પણ 4મેના રોજ હતી. જેથી ગત વર્ષે ધો.12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષાની તૈયારી માટે 7 દિવસનો ઘટાડો થાય છે. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા વહેલી પૂર્ણ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને NEET ની પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:01 pm

સોયાબીન સરકારી ખરીદી ફેલ,માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ:ટેકાના ભાવ કરતાં યાર્ડમાં સોયાબીનનો બમણો ભાવ: 20 હજારમાંથી માત્ર 1200 ખેડૂતો જ ટેકાના ભાવે વેચવા આવ્યા

રાજ્યમાં ગત 9 નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ છે, પરંતુ ખુલ્લા બજારમાં ઊંચા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકારી કેન્દ્રો તરફ વળવાને બદલે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચી રહ્યા છે. વધુ ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સીધો આર્થિક લાભ બજારમાં મળી રહ્યો છે, જેના કારણે સરકારી ખરીદી યોજના નિષ્ફળ જતી દેખાઈ રહી છે. ​વડિયા ગામના ખેડૂત જયંતીભાઈ હીરપરાએ જણાવ્યું કે આ વર્ષે સારા વરસાદને કારણે સોયાબીનનું ઉત્પાદન ખૂબ વધ્યું છે.જોકે સરકારી ટેકાના ભાવ કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડમાં વેપારીઓને માલ વેચી રહ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ સહિત અન્ય જિલ્લાના ખેડૂતો અહીં સોયાબીન વેચવા આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો પ્રવાહ અને ભાવ ​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક પૂરજોશમાં છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યુ હતુ કે છેલ્લા 20 દિવસમાં યાર્ડમાં એક લાખ કરતાં વધુ કટ્ટાની આવક નોંધાઈ છે અને દૈનિક આવક પાંચથી છ હજાર કટ્ટાની રહે છે.આવક વધવા છતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગુણવત્તા પ્રમાણે સોયાબીનનો ભાવ પ્રતિ 20 કિલોએ રૂ. 850 થી રૂ. 1000 નોંધાયો છે. સૌથી વધુ આકર્ષણ પ્રીમિયમ ક્વોલિટી અને સીડ ક્વોલિટીના સોયાબીન તરફ છે, જેનો ભાવ ખેડૂતોને રૂ. 1000 થી રૂ. 1250 સુધી ઉપજી રહ્યો છે. ભાવમાં સતત વધારો થતાં ખેડૂતો યાર્ડ તરફ ખેંચાઈ રહ્યા છે. ધોરાજી, ઉપલેટા, જામજોધપુર અને ભાવનગર વિસ્તારના ખેડૂતો પણ અહીં વેચાણ માટે આવી રહ્યા છે. ટેકાના ભાવે ખરીદીની નિષ્ફળતા ​ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 20,300 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં 3000 થી વધુ ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ બજારમાં સારા ભાવ મળવાના કારણે ફક્ત 1200 જેટલા ખેડૂતો જ સોયાબીન વેચવા માટે આવ્યા છે. 10 ખેડૂતોનો માલ રિજેક્ટ થયા સામે, મંડળી દ્વારા અત્યાર સુધીમાં માત્ર 240 ટન સોયાબીનની જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ખુલ્લા બજારના ભાવ સરકારી ટેકાના ભાવ કરતાં ઘણા ઊંચા છે, જેના કારણે સરકારી ખરીદી કેન્દ્રો પર ખેડૂતોની હાજરી નહિવત્ રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:47 pm

મહાપરીનિર્વાણ દિન:શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપ, કૉંગ્રેસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વાર્તાલાપ, પુષ્પાંજલિ કરાઈ

શહેર ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન કવન વિશે પર વાર્તાલાપ યોજાયો ગાંધી-સરદાર-આંબેડકરની ભૂમિ પર દારૂ-ડ્રગ્સના દૂષણ - કોંગ્રેસ ડો.બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાની હતા, ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મહાપરીનિર્વાણ દિન નિમિતે ભાજપ, કૉંગ્રેસ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ તેમજ બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન વિશે પર વાર્તાલાપ યોજાયો હતો. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહના માર્ગદર્શન તળે શહેર ભાજપ દ્વારા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમીત્તે પુષ્પાંજલિ તેમજ બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન વિશે પર વાર્તાલાપ સહિતના શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયા હતા, આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન, શહેર ભાજપ અનુસુચિત જાતી મોરચાની ટીમના હોદેદારો, પ્રદેશ કારોબારી સભ્યો, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકો, દરેક વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, પૂર્વ હોદેદારો, મોરચાના કારોબારી સભ્યો, તેમજ શહેર ભાજપ અનુ.જાતી મોરચાના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દારૂ, ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યો છે એ બંધ થવા જોઈએ - કોંગ્રેસ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર તથા શ્રદ્ધા સુમન અપર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના આગેવાનો, દરેક સેલના આગેવાનો, મહિલાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન વિપુલ ખુમાણએ જણાવ્યું હતું કે, ​ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે નગરજનોને કોટિ કોટિ વંદન અને આજે બાબા સાહેબના સાનિધ્યમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો સાથે મળી પુષ્પાંજલિ કરી બાબા સાહેબની મહાન વિચારધારાને વંદન કરવામાં આવેલ. ​ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાન વિચારધારા દરેક સમાજના લોકોને આર્થિક રીતે, સામાજિક, શૈક્ષણિક રીતે મદદરૂપ બનવા માટેની ભાવનાઓ હતી. બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પણ ગુજરાત રહી છે. વધુમાં જણાવ્યું હતું કે, આ ગુજરાતની અંદર અત્યારે વર્તમાન સમયની અંદર બેફામ દારૂ, ડ્રગ્સ, આ બધું જે મળી રહ્યું છે, એને પણ અમે આ બાબતે આજના દિવસે ઉજાગર કરવા માંગીએ છીએ કે, ખરેખર આ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિ હોય અને બાબા સાહેબની સંકલ્પ ભૂમિ હોય, તો આ મહાન નેતાઓની જો આપણે વંદન કરતા હોઈએ તો ખરેખર અહીંયા જે અમુક પ્રકારના અત્યાચારો અન્યાય અત્યાચાર થાય છે એને અટકાવવા જોઈએ અને સાથોસાથ દારૂ, ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યો છે એ બંધ થવા જોઈએ. તો જ આપણે એમની નિર્વાણ દિવસની નિમિત્તે ઉજવણી સાચી સાર્થક ગણાય.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:38 pm

સાસરિયાઓએ 4 વર્ષના પુત્ર સાથે પરિણીતાને ઘરમાંથી તગેડી મૂકાઈ:મહિલા પાસે ટ્રેક્ટર લાવવા 2 લાખ રૂપિયાનું દહેજ માંગી ત્રાસ ગુજાર્યો, સાસરિયા પક્ષના 6 સામે ફરિયાદ નોંધાઈ

વડનગરના સુલીપુર ગામે પતિ સહિતના મહિલાના સાસરિયાઓએ ટ્રેક્ટર લાવવા 2 લાખ રૂ.દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જે બાદ પુત્ર સાથે પરિણીતાને ઘર માંથી બહાર તગેડી મુકવામાં આવી હતી. જેને લઈ મહિલાએ પોતાના પતિ સહિત 6 સાસરિયાઓ વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરિણિતાને શારીરીક અને માનસિક ત્રાસ આપતાંવડનગરના સુલીપુર ગામે નાનોવાસમાં રહેતી જીગીશાબેન સોમાજી ઠાકોર નામની મહિલાની ફરિયાદ મુજબ તેના લગ્નદ વર્ષ અગાઉ સુલીપુર ગામના મોટાવાસમાં રહેતા નાગેશ્વર લક્ષમણજી ઠાકોર સાથે સામાજિક રીતે થયા હતા. જ્યાં લગ્ન જીવન દમરીયાન તેમને 4 માસનો પુત્ર હતો. જોકે તેમની સાસરીમાં શરૂઆતમાં સારું રાખ્યા બાદ તેમના પતિ સહિતના લોકો દ્વારા તેમને શારીરીક અને માનસિક ત્રાસ આપી પજવણી કરવામાં આવતી હતી. 2 લાખ રૂપિયાનું દહેજ માંગી ત્રાસ ગુજાર્યોતો મહિલાના સાસરિયાઓની ચઢામણીથી તેનો પતિ ટ્રેક્ટર લાવવા રૂ.2 લાખનું દહેજ માંગતો હતો. જોકે મહિલાનું પિયર ગરીબ પરિસ્થિતિમાં હોઈ દહેજ ના આપતા પતિએ તેને પોતે મૈત્રી કરાર કરી બીજી સ્ત્રીને ઘરમાં લાવવાની હોઈ તેને બહાર કાઢી મુકવા પ્રયાસ કરતો હતો. ચાર વર્ષના પુત્ર સાથે પરિણિતાને ઘરમાંથી બહાર નીકાળી, ગુનો નોંધાયોજે બાદ મહિલાને તેના સાસરિયાઓએ ચાર વર્ષના પુત્ર સાથે ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી. સમગ્ર મામલે મહિલાની ફરિયાદ આધારે વડનગર પોલીસેને ત્રાસ આપી દહેજ માંગવા મામલે તેના સસરા રાયમલ મંગાજી ઠાકોર, જેઠ વિક્રમ રાયમલજી ઠાકોર, જેઠાણી રુખીબેન વિક્રમજી ઠાકોર, કાકા સસરા હંકા ભીખાજી ઠાકોર, નંણદોઈ લાખા સવાજી ઠાકોર અને પતિ નાગેશ્વર લક્ષમણજી ઠાકોર મળી 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:18 pm

દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરનાર 30 CCTV-પડછાયાના આધારે ઝડપાયો:દાણીલીમડામાં યુવતીને દવાખાને લઈ જવાના બહાને અંધારામાં લઈ જઈને અપકૃત્ય કર્યું

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર મોડીરાતે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ થયાના ચાર દિવસમાં માનિસક વિકૃત આરોપીની ધરપકડ કરી લીધી છે. મોડીરાતે દિવ્યાંગ યુવતી તેના ઘરેથી ઉતરીને રોડ પર આવી હતી, જ્યાં આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી લેવા માટે 30થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવા પડ્યા હતા. દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ26 નવેમ્બરની રાતે દાણીલીમડામાં આવાસ યોજનાના મકાનમાં રહેતી એક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ થયું હતું. યુવતીની માનસિક સ્થિતી સારી નહી હોવાના કારણે તે મોડીરાતે પોતાના મકાનના નીચે ઉતરી ગઈ હતી. યુવતી મોડીરાતે ચાલતી ચાલતી રોડ પર આવી ત્યારે જમાલપુર વિસ્તારમાં રહેતા મયુદ્દીન બાદશાહ નામના યુવકની નજર તેના ઉપર પડી હતી. દિવ્યાંગ યુવતીને જોઈને મયુદ્દીનની નિયત ખરાબ થઈ હતી અને તે તેની પાસે ગયો હતો. અંધારામાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યુંમયુદ્દીને તેની પાસે જતાની સાથે જ યુવતીને કહ્યુ હતું કે, તારે ક્યાં જવું છે અને અહીંયા કેમ ફરે છે. યુવતીએ મયુદ્દીનને જવાબ આપ્યો હતો કે, મારે દવાખાને જવુ છે. મયુદ્દીને યુવતીને દવાખાને લઈને જવાનું કહ્યું હતું જેથી તે રાજી થઈ ગઈ હતી. મયુદ્દીન યુવતીને અંધારામાં અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યા તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પરિવારને જાણ કરી, ગુનો નોંધાયોયુવતીને પીંખી નાખ્યા બાદ મયુદ્દીન ત્યાથી જતો રહ્યો હતો અને બાદમાં તે પણ પોતાના ઘરે આવી ગઈ હતી. ઘરના લોકોને સમગ્ર ઘટનાની જાણ થતા તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો અને કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાંચે આ મામલે 30થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કરીને ગણતરીના દિવસોમાં વિકૃત આરોપીને ઝડપી લીધો છે. યુવતી ઘરેથી ગૂમ થતા પરિવારે શોધખોળ કરી હતીયુવતી ઘરેથી ગાયબ થતા તેના પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી નહી. પરંતુ એક કલાક પછી યુવતી આપોઆપ પોતાના ઘરે આવી જતા ઘરના તમામ સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. 'મારા પતિ જે મારી સાથે કરતા તે યુવક કરીને જતો રહ્યો'યુવતીને પેટમાં દુખાવો થતો હતો જેથી તેની માતાએ તેને આ મામલે પુછ્યુ હતું. યુવતીએ જવાબ આપ્યો હતો કે, મારા પતિ જે મારી સાથે કરતા તે યુવક કરીને જતો રહ્યો હતો. યુવતીની માતાને અંદાજો આવી ગયો હતો કે કોઈએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે. યુવતી પરિણીત હતી પરંતુ તેની માનસિક સ્થિતી સારી નહી હોવાના કારણે તેને છુટાછેડા થઈ ગયા હતા. પોલીસે 30થી વધુ CCTV કેમેરા ચેક કર્યાદાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ આરોપીને શોધવો મુશ્કેલ હતો, જેથી કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાંચે વિસ્તારના તેમજ બનાવના દિવસના 30થી વધુ CCTV કેમેરા ચેક કર્યા હતા. જ્યા યુવતી સાથે દુષ્કર્મ થયું ત્યા કોઈ CCTV કેમેરા નહોતા. CCTVમાં પડછાયો દેખાયો ને મયુદ્દીન પકડાયોક્રાઈમ બ્રાંચની ટીમને CCTV ફુટેજમાં એક પડછાયો દેખાયો હતો. જેના પરથી તપાસ કરતા કરતા તે મયુદ્દીન સુધી પહોચી ગયા હતા. યુવતીએ આપેલા વર્ણન અને હ્યુમન સોર્સીસની મદદથી ક્રાઈમ બ્રાંચે મયુદ્દીનની ધરપકડ કરી છે. આરોપીના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યાક્રાઈમ બ્રાંચને દિવ્યાંગ યુવતીના ધૃણાસ્પદ દુષ્કર્મ કેસની તપાસ સોંપાઈ હતી જેમા તેમને સફળતા મળી છે. મોઈનુદ્દીનની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જ્યા તેને 6 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે. નશાના આદી આરોપી પર 16થી વધુ ગંભીર ગુનાઓમોઈનુદ્દીન ગુનાહિત ઈતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર છે અને તે ગંભીર વિકૃત માનસિકતા ધરાવે છે. મોઈનુદ્દીન સાતે તેની સામે 16થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ બે વખત પાસા હેઠળ અન્ય જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. મોઈનુદ્દીનની મનોવૈજ્ઞાનિક પ્રોફાઇલ પણ ખતરનાક છે. આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે અને તે અત્યંત ગુસ્સાવાળો સ્વભાવનો છે. સ્વ-નુકસાનને પણ કરી રહ્યો છે. આ સાથે તે નશાનો આદી પણ છે. યુવતી પર રેપ તેણે નશાની હાલતમાં કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:12 pm

જામનગરમાં મકાન વિવાદે યુવાન પર હુમલો:પૈસાની લેતીદેતી મામલે પાડોશી દંપતીએ માથામાં ડોલ ફટકારતાં 12 ટાંકા લેવા પડ્યા

જામનગરના કિસાન ચોક, હિરાસરવાસ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રાજાભાઈ વેરશીભાઈ વાઘેલા પર તેમના પાડોશી દંપતીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજાભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને 12 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટના મકાનના વેચાણના પૈસાની લેતીદેતીના મામલે બની હતી. પાડોશમાં રહેતા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર અને મુરીબેન ખીમાભાઈ પરમારે રાજાભાઈના માથામાં ડોલ ફટકારી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ હુમલા અંગે ઈજાગ્રસ્ત રાજાભાઈની પુત્રી સંજનાબેન વાઘેલાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પાડોશી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:04 pm

અંતે અમદાવાદ કોર્પોરેશનને બ્રિજ નીચે તિરાડો દેખાઈ:સુભાષ બ્રિજના નીચેના ભાગે ઈન્સપેક્શન કરાતાં મસમોટી તિરાડ અને ખસી ગયેલો સ્પાન જોવા મળ્યો

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશ દ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે. સદનસીબે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અટકી છે. પરંતુ, હવે શું તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બ્રિજ ડિઝાઈન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઈન્સપેક્સન કરવામાં આવતા બ્રિજમાં તિરાડો અને સ્પાન ખસી ગયેલો જોવા મળ્યો છે. સુભાષબ્રિજનો જે સ્પાનનો ભાગ બેસી ગયો છે. તેના નીચેના ભાગે તિરાડ પડી છે. બ્રિજના ત્રીજા નંબરના સ્પાનનો ભાગ બેસી ગયો છે. બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા સુભાષ બ્રિજની દરેક તરફથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન થયું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઉંઘતું ઝડપાયા બાદ સુભાષ બ્રિજનો સ્પાન બેસી જતાં બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમ પેનલ કરવામાં આવેલા ડિઝાઇન કન્સલ્ટન્ટ ઉપરાંત SVNIT અને અલગ અલગ એક્સપર્ટ કમિટીના લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે. બ્રિજના તમામ સ્પાનની તપાસ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાશેસૂત્રોના જણાવ્યા મુજબ સુભાષ બ્રિજમાં જે સ્પાનમાં તિરાડ પડી અને ભાગ બેસી ગયો છે તે સ્પાનને બદલવામાં આવી શકી છે. અલગ અલગ એક્સપર્ટ દ્વારા આખા સુભાષ બ્રિજના સ્પાન અને પિલ્લર સહિત નહી તપાસ કર્યા બાદ એક સ્પાન સિવાય કોઈ તકલીફ નહીં હોય તો નુકસાન થયેલા ભાગને જ બદલવામાં આવશે. બ્રિજના અન્ય સ્પાનમાં તપાસ બાદ નિર્ણય લેવાશે. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યુંઅમદાવાદના તમામ બ્રિજનું ઇન્સ્પેકક્શન ચોમાસા પહેલા અને પછી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂનથી શરૂ થતું હોવાની ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોમાસા પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન મે અને જૂન મહિનામાં કરવાનું હોય તેની જગ્યાએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા બાદ તેનું માઇનોર રીપેરીંગ કરવા અંગેનું પણ કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ 4 મહિના સુધી સુભાષબ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ભાસ્કર ઇન્સાઈડ: ગંભીર ખામી હશે તો બ્રિજ બેથી ત્રણ મહિના બંધ રહી શકે ભાસ્કરને આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા સુભાષબ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. બ્રિજની બંને તરફ એક સ્પાનનો ભાગ નમી ગયો છે. બ્રિજનું પ્રાથમિક રીતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં ભાગ નમેલો હોવાને લઈને આ બ્રિજને રિપેરિંગ કરવાની જરૂરિયાત ઊભી થશે. રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક ઇન્સ્પેક્શન કરીને આ બાબતે નિર્ણય લેવામાં આવશે. જો બ્રિજમાં ગંભીર ખામી સામે દેખાશે તો બ્રિજને બેથી ત્રણ જેટલા મહિના સુધી બંધ કરવો પડશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:00 pm