SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

શિક્ષક સામે ફરિયાદ:વડોદરાની વિદ્યાલયમાં ચાલુ કલાસમાં પીધેલી હાલતમાં બીભત્સ શબ્દનો ઉપયોગ કરનાર શિક્ષક સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે શિક્ષકની અટકાયત કરી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એક વિદ્યાલયમાં શિક્ષક દ્વારા ચાલુ ક્લાસમાં બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેથી વાલીએ આ શિક્ષક સામે ફરિયાદ નોધાવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકે ભણાવતી વેળા બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યોવડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વિદ્યાલયમાં વિનોદ સમસુ બારિયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન 4 ડિસેમ્બરના રોજ આ શિક્ષક ધોરણ 10માં કલાસ લઇ રહ્યા હતા. તે દરમિયાન ક્લાસમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીએ હાજર હતી. તે દરમિયાન આ શિક્ષકે ભણાવતી વેળા કોઇ બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારા આરોપી શિક્ષકની અટકાયત કરાઈશિક્ષક દ્વારા આ દ્વિભાશી શબ્દનો ઉપયોગ કરાતા વિદ્યાર્થિનીઓ પણ અવાક બની ગઇ હતી. જેથી તમામ વિદ્યાર્થિનીઓ પૈકી એક વિદ્યાર્થિનીની માતાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિનોદ બારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી શિક્ષકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:58 pm

દૈનિક 900 મે.ટન ગાર્ડન ગ્રીન વેસ્ટનો નિકાલ:ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના ભારે વાહનો ફાળવવા નવી જોગવાઈ કરાશે

સુરત શહેરમાં ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ઠેર ઠેર સોસાયટીઓના નાકા, ચાર રસ્તાઓ અને ડિવાઇડરો આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ન્યુસન્સ પોઈન્ટોમાં વધારો થયો છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનમાં અપૂરતા વાહનો અને ઈ-વ્હીકલોની ઓછી સંખ્યા સમસ્યાનું મુખ્ય કારણ છે. હાલમાં વપરાતા ઈ-વ્હીકલોની ક્ષમતા માત્ર 200 કિલો વેસ્ટ વહન કરવાની હોવાથી ગાર્ડન વેસ્ટનો નિકાલ ડોર-ટુ-ડોર ગાડીઓમાં થઈ શકતો નથી. આ સમસ્યાના નિરાકરણ માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના મોટા વાહનો ફાળવવાની જોગવાઈ કરવામાં આવનાર છે. ટેન્ડરની શરતોમાં ફેરફારસ્થાયી અધ્યક્ષ રાજન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાર્ડન વેસ્ટના નિકાલ માટે અગાઉ બહાર પડાયેલા ટેન્ડરમાં ચોથા પ્રયાસે પણ કોઈ કોન્ટ્રાક્ટર ક્વોલિફાય થઈ શક્યું ન હતું. આનું મુખ્ય કારણ ટેન્ડરની શરતમાં ગાર્ડન વેસ્ટના નિકાલનો અનુભવ ફરજિયાત રાખવામાં આવ્યો હતો, જેના કારણે ખાસ ટેન્ડરરો મળ્યા ન હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, હવે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાર્ડન વેસ્ટના અનુભવને બદલે અન્ય વેસ્ટ નિકાલના અનુભવોને પણ માન્ય ગણીને ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ફેરફારથી શહેરમાં ગાર્ડન વેસ્ટના નિકાલની કામગીરી ઝડપથી શરૂ થઈ શકશે. 1000 કિલો ક્ષમતાના ઈ-વ્હીકલ ફાળવવામાં આવશેનવી જોગવાઈ અનુસાર, ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના મોટા ઈ-વ્હીકલ ફાળવવામાં આવશે. તમામ ઝોનમાં ગાર્ડન વેસ્ટ એકત્ર કરવા માટે ચોક્કસ પ્લોટ ફાળવવામાં આવશે. આ પ્લોટ પરથી એકત્ર થયેલો કચરો મોટી ગાડીઓ મારફત ટ્રાન્સફર સ્ટેશન સુધી લઈ જવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં બે ઝોનથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર તમામ ઝોનમાં આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. દૈનિક 900 મે.ટન ગાર્ડન-ગ્રીન વેસ્ટનો નિકાલમહાપાલિકા શહેરમાંથી દૈનિક 2200 મેટ્રિક ટન જેટલો કચરો ઉઠાવે છે, જેમાંથી 95 ટકાથી વધુ કચરાનું પ્રોસેસિંગ થાય છે. આ કુલ કચરામાં, ભીનો કચરો, ઓર્ગેનિક વેસ્ટ અને ગાર્ડન વેસ્ટ મળીને 900 મેટ્રિક ટન જેટલો હોય છે. લગભગ 200 ગાર્ડનોમાંથી આવતો વેસ્ટ અલગથી ઉઠાવવામાં આવે છે.ગાર્ડન વેસ્ટનો મુખ્ય ભાગ (લગભગ 4 ટન) કસ્તુરબા ગાર્ડન અને કતારગામ ઝોન ખાતે વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતરિત થાય છે. માર્કેટ અને સોસાયટીઓમાંથી આવતા ઓર્ગેનિક વેસ્ટને પ્રોસેસ કરવા માટે 25થી વધુ યુનિટ માર્કેટોમાં અને 50થી વધુ યુનિટ સોસાયટીઓમાં વેસ્ટ કન્વર્ટર મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:30 pm

આરોપીની ધરપકડનું કારણ ન જણાવતા મળ્યા જામીન:દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI અને બે ખાનગી વ્યક્તિ સામે 1 કરોડની લાંચ માગ્યાનો ગુનો નોંધાયો હતો

ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શિવકુમાર તેમજ બે ખાનગી નાગરિક ચિત્રેશ સુતરીયા અને સંજય પટેલ સામે અમદાવાદ ACB પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપી ચિત્રેશ સુતરીયા પાલડી અમદાવાદના રહેવાસી છે. જેની ધરપકડ થતા તેને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં ધરપકડ કરનાર અધિકારીએ એરેસ્ટ મેમોમાં આરોપીને ધરપકડનું કારણ ન જણાવતા સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કર્યો હોવાથી આરોપીને કોર્ટમાંથી શરતી જામીન મળી ગયા હતા. ગ્રાહકોના 17 પાસપોર્ટ સહિત અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરાઈ હતીકેસને વિગતે જોતા અમદાવાદના સીજી રોડ ખાતે આવેલી વિઝા કન્સલ્ટિંગની ઓફિસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક કેસ સંદર્ભે રેડ પાડવામાં આવી હતી. જેમાં ફરિયાદી પોતે પણ ત્યાં વિઝાનું કામ કરાવતા હતા. આ રેડમાં ફરિયાદી પાસે રહેલા ગ્રાહકોના 17 પાસપોર્ટ સહિત અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યાંથી ફરિયાદીને પકડીને નવરંગપુરા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં આરોપી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI શિવકુમારે મિત્ર સંજય પટેલ અને વિઝા કન્સલ્ટન્સી માલિકના મિત્ર ચિત્રેશ સુતરીયાને બંનેએ બોલાવ્યા હતા. બંને પક્ષે સમાધાન કરાવતો ફરિયાદીની ધરપકડ થઈ નહોતી. ફરિયાદમાંથી નામ કાઢવું હોય તો 1 કરોડ આપવા પડશેપરંતુ ASI શિવકુમારે દિલ્હી જઈને ફરિયાદીને હાજર થવા નોટિસ પાઠવી હતી અને સંજય પટેલ તેમજ ચિત્રેશ સુતરીયા મારફતે જણાવ્યું હતું કે, જો ફરિયાદમાંથી નામ કાઢી નાખવું હોય તો 1 કરોડ રૂપિયા આપવા પડશે. પરંતુ ફરિયાદીએ રૂપિયા ન આપતા તેનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરીથી ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ચાર્જશીટમાંથી નામ કાઢવા 80 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે સંદર્ભે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. આરોપી શિવકુમાર સતત પક્ષકારોના વોટ્સએપ કોલથી સંપર્કમાં હતો. લાંચના ટોકનના 10 લાખ મેળવવાની લાલચમાં સંજય અને ચિત્રેશ ACBના હાથે ઝડપાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:24 pm

સુરત ડાયમંડ માર્કેટ ફ્રોડ:મહંત ડાયમંડ્સ LLPઅને રસેષ વેલ્સ LLPના ભાગીદારની ક્રાઈમ બ્રાન્ચના ઇકો સેલ દ્વારા ધરપકડ

સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદેલા હીરાનું પેમેન્ટ ન ચૂકવવા બદલ મહંત ડાયમંડ્સ LLP અને રસેષ વેલ્સ LLPના એક ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. આ કથિત કૌભાંડની રકમ આઠ કરોડ રૂપિયાથી વધુ છે. 21 જુદા-જુદા વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો માલ ખરીદ્યો હતોફરિયાદ મુજબ, આરોપી કંપનીઓએ સુરતના હીરા બજારના કુલ 21 જુદા-જુદા વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ તેઓએ પેમેન્ટ કર્યા વિના ઉઠામણું કરી માલ સાથે ફરાર થઈ ગયા હતા. કુલ બાકી રકમ 8,20,32,320 જેટલી મોટી છે. પીડિત હીરા વેપારીઓની રજૂઆતો બાદ, સુરત શહેરના પોલીસ કમિશનર તરફથી તાત્કાલિક FIR નોંધવાની સૂચના આપવામાં આવી હતી. અનિલભાઈ અરવિંદભાઈ હીરપરાની ફરિયાદના આધારે મહંત ડાયમંડ્સ એલએલપી અને રસેષ વેલ્સ એલએલપી ફર્મ તથા તેના ભાગીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મૂળ ફરિયાદમાં નામજોગ કરાયેલા આરોપીઓમાં જિતેંદ્રભાઈ ધનજીભાઈ કાસોદરીયા, રોનકકુમાર રાજેશભાઈ ધોળીયા અને કૌશીકકુમાર અમૃતલાલ કાકડીયાનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપીની ધરપકડગુનાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે અગાઉ અન્ય 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્ય ભાગીદારો પૈકીના એક, રોનકકુમાર રાજેશભાઈ ધોળીયા, જેની ઉંમર 36 વર્ષ છે, તે ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. આ બાતમીના આધારે કાર્યવાહી કરીને, ઇકો સેલે રોનક કુમારે પકડી પાડ્યો હતો. કતારગામ, સુરતના રહેવાસી આ આરોપીની કાયદેસરની કાર્યવાહી કરીને અટકાયત કરવામાં આવી છે. હાલમાં આ હાઈ-પ્રોફાઈલ ડાયમંડ માર્કેટ ફ્રોડ કેસની તપાસ ચાલુ છે અને સત્તાવાળાઓ આ ઓપરેશનની સંપૂર્ણ હદ જાહેર કરવા અને તેમાં સામેલ તમામ પક્ષોને ન્યાયના કઠેડામાં લાવવા માટે કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:23 pm

શિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે કલેકટર ભવનાથ પહોંચ્યા:મેળામાં ભાવિકોની સુવિધા માટે મોટો નિર્ણય; હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ ખુલ્લાં રહેશે,ભવનાથ તળેટીની મુલાકાત લઈ સુવિધાઓ માટે અધિકારીઓને આપ્યા દિશાનિર્દેશ.

આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુસર હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓના સંચાલકો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ત્યારબાદ ભવનાથ તળેટી ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ​હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ ભાવિકો માટે ખુલ્લા ​કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, રસ્તા, સફાઈ અને પાયાની સુવિધાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ મેળામાં આવતા ભાવિકોની સંખ્યા ખૂબ મોટી હોવાથી ખાસ કરીને બાથરૂમ અને યુરિનલની સુવિધા અને સ્વચ્છતા જળવાઈ રહે તે એક મોટો પડકાર હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, કલેક્ટરે શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓના સંચાલકોને તેમના ટોયલેટ અને યુરિનલ શ્રદ્ધાળુઓના ઉપયોગ માટે ખુલ્લા રાખવા અપીલ કરી હતી. હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ આ અપીલને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને શિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે તેમના ટોયલેટ-બાથરૂમની સુવિધા આપવા માટે સહમતિ દર્શાવી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આ માનવીય અભિગમ બદલ હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોનો આભાર પણ માન્યો હતો. ભવનાથ તળેટીમાં કલેક્ટરે કર્યું નિરીક્ષણ ​હોટેલ સંચાલકો સાથેની બેઠક બાદ કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર અને નાયબ કમિશનર ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ સાથે ભવનાથ તળેટી ખાતે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને તાત્કાલિક ધોરણે અને અગ્રતાના ધોરણે નીચેની પાયાની સવલતો સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જેમાં રસ્તા, સાફ-સફાઈ, પીવાના પાણીની સુવિધા, યુરિનલ, અને ટોયલેટ બ્લોક્સની વ્યવસ્થ કરવી ,ભાવિકોને રૂટ અને સ્થળોની જાણકારી મળે તે માટે યોગ્ય સ્થળો પર સાઈન બોર્ડ લગાવવા જેવી બાબતોને લઈ સૂચના આપવામાં આવી હતી. બસ ડેપો અને રેલવે સ્ટેશન પર સુવિધા વધારવા સૂચના ​કલેક્ટરે મેળાની તૈયારીઓના ભાગરૂપે માત્ર તળેટી જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવતા ભાવિકો માટે મહત્ત્વના પ્રવેશ દ્વારો સમાન બસ ડેપો અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ સ્થળોએ શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તે માટે તેમણે નીચેના દિશાનિર્દેશો આપ્યા હતા કે બસ ડેપો ખાતે શૌચાલયોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું. રેલવે સ્ટેશનની બહારની બાજુ પણ ટોયલેટ બ્લોકની સુવિધા ઊભી કરવા જણાવ્યું હતું.તેમજ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી ભવનાથ જવા-આવવા માટે રીક્ષાના દરો (રેટ) ભાવિકોને સ્પષ્ટ દેખાય તે પ્રકારે ડિસ્પ્લે કરવા.જૂનાગઢમાં આવેલા ફરવાના સ્થળોની જાણકારી મળે અને ભવનાથ રૂટ પર યોગ્ય રીતે વિવિધ સ્થળોના સાઈનબોર્ડ લાગે તે માટે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. છ મહિના અગાઉ મંદિર વહીવટી તંત્ર હસ્તક લેવાયું હતું મહાશિવરાત્રી મેળાનું મુખ્ય કેન્દ્ર એવા ભવનાથ મંદિરના વહીવટમાં અગાઉ મોટો ફેરફાર આવ્યો હતો. ગત તારીખ 31/07/2025ના રોજ ભવનાથ મંદિરનો વહીવટ વહીવટી તંત્ર હસ્તક લેવાયો હતો. જૂનાગઢ વહીવટી તંત્રએ આ મંદિરના સંચાલન માટે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી હતી. વહીવટી તંત્રએ મંદિરનો વહીવટ સંભાળ્યા બાદ યોજાનારો આ પહેલો મોટો મહાશિવરાત્રી મેળો છે, ત્યારે વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ આયોજન વધુ સુવ્યવસ્થિત અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક બને તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા અને તેમની ટીમ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મેળાની પૂર્વતૈયારીઓ ઝડપી બનાવતા વહીવટી તંત્રનો પ્રયાસ છે કે, લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળામાં કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને શિવરાત્રીનો પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:58 pm

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:નેશનલ હાઇવે પર ખાનગી બસો પર ફરી પથ્થરમારો, પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરા ઉડ્યા

શહેર નજીક નેશનલ હાઈવે પર દોડતી ખાનગી બસોને ટાર્ગેટ કરી પથ્થરોના છૂટા કરી તોડફોડ કરવાનો બનાવ ફરી એક વખત ગત રાત્રે બન્યો હતો. લુખ્ખાઓએ પથ્થરમારો કરી બે બસના કાચ ફોડી નાખતા ભયનો માહોલ સર્જાયો હતો.જે મામલે ખાનગી બસ એસોસિએશનના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગઈકાલે હુડકો ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડ વચ્ચે સુરતથી રાજકોટ તરફ આવતી બે ખાનગી બસમાં અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી કાચ ફોડી નાંખતા ભયનો માહોલ ઉભો થયો હતો.અગાઉ પણ અનેકવાર આ જ વિસ્તારમાં અનેક ખાનગી બસના કાચ તૂટ્યાના બનાવો બન્યાં હોય જે મામલે 10 દિવસ પહેલા જ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી પેટ્રોલિંગ વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં સ્થાનિક પોલીસે તે આવેદનને નજર અંદાજ કર્યો હોય તેમ રાત્રિના સમયે પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ફરી બસના કાચ તૂટતા મુસાફરોમાં ભય ફેલાયો હતો. માતાના ઘર પાસે રિક્ષા પાર્ક કરતા આધેડને જ્ઞાતિ અંગે હડધૂત કરી છરી મારી દેવાઈ શહેરના 80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્ક શેરી નં. 1 માં રહેતા જયસુખભાઈ રામજીભાઈ મુછડીયા (ઉ.વ. 49)એ મલવીયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રીક્ષા ચલાવું છુ અને મારા માતા લક્ષ્મીબેન (ઉ.વ. 80) દાસી જીવણપરા શેરી નં. 05 માં મારા ભાઈ અશ્વિનભાઈ મુછડીયા સાથે રહે છે.ગઈકાલે સાંજના 6.30 વાગ્યાની આસપાસ હું મારી રીક્ષા નં. જીજે 03 એયુ 7239 લઈને મારા માતાના ખબર અંતર પૂછવા માટે તેઓના ઘરે ગયો હતો અને રીક્ષા બહાર શેરીમાં પાર્ક કરી હતી. તે દરમ્યાન વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ભુપત ભટ્ટ તથા તેનો દીકરો હાર્દિક ભટ્ટ અને એક અજાણ્યો શખ્સ બહાર શેરીમાં ઉભા હતા અને મને કહ્યું કે અહી તારે આવવું નહી નહિતર અમો તને જાનથી મારી નાખીશું. જે બાદ બાદ મને જ્ઞાતી પ્રત્યે હડધુત કરે તેવા શબ્દો બોલવા લાગ્યા હતા. જે બાદ મારુ ગળુ દબાવવા લાગ્યો હતો. તે દરમિયાન મારા માતા લક્ષ્મીબેને ઝઘડો કરતા જોઈ જતા છુટા પડાવવા આવતા મારા માતાને ધક્કો મારી પાડી દીધા હતા. જે પછી આને મારી નાખો એમ કહેતા હાર્દિકે છરી કાઢી અજાણ્યા શખ્સને આપી અને અજાણ્યા શખ્સે મને પાછળના ભાગે જમણા ખંભા ઉપર છરી મારી દીધી હતી. જેથી મને લોહી નીકળવા લાગતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગોંડલ ચોકડી પાસે ટ્રક હડફેટે પગપાળા જતી નવોઢાનું મૃત્યુ સોનલબેન ભાવિનભાઈ સોલંકી (ઉં.વ. 22, રહે.લાલપરી વિસ્તાર, ગ્રીન્ડલેન્ડ ચોકડી) ગઈકાલે સાંજે 5 વાગ્યાં આસપાસ પગપાળા પિતાના ઘરે જતી હતી ત્યારે ગોંડલ ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોકટરે તેણીને મૃત જાહેર કરી હતી. જેથી આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પુછપરછમાં જાણવા મળેલ કે, નવોઢા સોનલબેન પોતાના પિયર ચાલીને જતી હોય તે વખતે દુર્ઘટના સર્જાઈ હતી. તે બે ભાઈ અને બે બહેનમાં મોટી હતી. મૂળ ગોંડલના રહેવાસી હોય અને પિતા આજીવસાહતમાં રહેતા હોય અને મૃતકના એક માસ પૂર્વે લગ્ન થયા હતા. આ અંગે આજીડેમ પોલીસે અજાણ્યા ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી. કુવાડવા ગામ પાસે બિનવારસી થારમાંથી દારૂની 204 બોટલ મળી આવી પીસીબી પોલીસે પેટ્રોલીગ દરમિયાન બાતમી આધારે કુવાડવા ગામ પાસે જાહેર રોડ પર વિદેશી દારૂ ભરેલ બિનવારસી થાર કબ્જે કરી દારૂ -થાર મળી રૂ.12.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પીસીબીની ટીમે કુવાડવા ગામમાં જાહેર રસ્તા પર મહિન્દ્રા થાર બીનવારસી હાલતમાં પડી હતી. જેમાં તપાસ કરવામાં આવતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 204 બોટલ હતી. જેની કિંમત રૂ.10 લાખ જેટલી થાય છે. પોલીસે થાર માલિકની શોધખોળ હાથ ધરી છે. નવાગામમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રમેશભાઈ લૂંભાણી નામના આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, નવાગામ સોસાયટી શેરી નં. 10 મા રહેતા રમેશભાઈ ધનજીભાઈ લૂંભાણી (ઉં. વ. 43)એ ગઈકાલ સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કરતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરવાનું કારણ જાણવા ન મળતા કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:54 pm

હવે નિકિતા દે ની મીરા દે સામે FIR:રાજકોટમાં કિન્નર અખાડાની ગાદી માટેનો વિવાદ ફરી વકર્યો

રાજકોટમાં કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા નિકિતા દે ની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે નિકિતા દે એ મીરા દે સામે ફોન પર રાજકોટ મૂકી દેવાની અને જો નહીં મૂકે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં મિહિર ચૌહાણ સામે પણ ફરિયાદ થઈ છે. જેથી કિન્નરો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. શહેરના ભાવનગર રોડ પર શક્તિ ચોક પાસે ગંજીવાડા શેરી નં.18 માં રહેતી નિકિતા દે એ થોરાળા પોલીસ મથકમાં પરાપીપળીયામાં એકતા નગરમાં 25 વારીયા કવાટરમાં રહેતા કીન્નર માસી મીરા દે અને મિહિર ચૌહાણ સામે જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત તા.27 નવેમ્બરના આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બંને શખ્સો દ્વારા ફોન કરી સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે સમાધાન કરવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા. મીરા દે અને મિહિર ચૌહાણ દ્વારા રાજકોટ મૂકી દેવાની ધમકી આપી હતી અને જો રાજકોટ નહીં મૂકે તો ટાટીયા ભાગી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. જે બાદ બંને દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી થોરાળા પોલીસે મીરા દે અને મિહિર સામે ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:35 pm

ઉનામાં દુકાનની દીવાલ ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત:લાઇબ્રેરી ચોકમાં ચણતર કામ દરમિયાન બની દુર્ઘટના, મૃતક બંને યુવાનો મૂળ જાફરાબાદના

ઉના શહેરમાં લાયબ્રેરી ચોક ખાતે એક દુકાનની દીવાલ ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત થયા છે. આ ઘટના રાત્રિના સમયે બની હતી જ્યારે દુકાનનું ચણતર કામ ચાલી રહ્યું હતું. મૃતકોની ઓળખ મુસ્તાકભાઈ અબ્દુલ કરીમભાઈ (ઉંમર 40) અને ઇરફાન હાજીભાઈ મન્સૂરી (ઉંમર 35) તરીકે થઈ છે. દીવાલ ધરાશાયી થતાં બંને ગંભીર રીતે દબાઈ ગયા હતા. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ બંને યુવાનો મૂળ જાફરાબાદના વતની હતા, પરંતુ ઘણા સમયથી ઉનામાં રહીને મજૂરી કામ કરતા હતા. ઇમ્તિયાઝભાઈ વોરાની વખારના ચણતરનું કામ શરૂ હતું અને તેનું કામ ડેસર ગામના કોન્ટ્રાક્ટર અરજણભાઈને કામ આપેલ હતું. ઘટનાની જાણ થતાં ઉના નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા હોસ્પિટલે દોડી આવ્યા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી માસુમભાઈ કસમાણી,યુસુફભાઈ તવકલ સહિતના આગેવાનો તેમજ લોકોના ટોળે ટોળા હોસ્પિટલે દોડી આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:32 pm

વરાછા વિસ્તારમાં મેગા ઓપરેશન:ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પોલીસ, પાલિકાનો કાફલો રોડ પર ઊતરતા અફરાતફરી મચી ગઈ, રસ્તામાં અડચણ રૂપ કેબીનો ઉખેડી

સુરત શહેરના ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રાહદારીઓને સુવિધા આપવાના હેતુસર, પોલીસ કમિશ્નરના સીધા આદેશ હેઠળ સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે વરાછા વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં વરાછા પોલીસ, ટ્રાફિક પોલીસ, અને સુરત મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ જોડાઈ હતી. આ મોટી સંખ્યામાં હાજર ટીમે વરાછા વિસ્તારના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી કરી હતી.ઝુંબેશ મુખ્યત્વે વરાછા બુટ ભવાની રોડ અને LH રોડ પર કેન્દ્રિત હતી, જે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય માર્ગો છે. રસ્તા પર આડેધડ પાર્ક કરેલી અને ટ્રાફિકને અવરોધરૂપ થતી અનેક ગાડીઓને ટ્રાફિક પોલીસે ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. રસ્તાની વચ્ચે રોક લગાવીને ઊભેલી અનેક લારીઓવાળાને હંગામી કેબિનોને પાલિકાની ટીમે કબજે કરી હતી.આ ગીચ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને કારણે લોકોને ચાલવામાં ભારે તકલીફ પડતી હતી. આ દબાણો હટાવીને ટીમે પગપાળા ચાલતા લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. દબાણ હટાવવાની કામગીરીની સાથે-સાથે, જાહેરમાં અનેક જગ્યાઓ પર ખોટી રીતે લાગેલા વ્યાપારી બેનરો અને પોસ્ટરો પણ હટાવવામાં આવ્યા હતા, જે શહેરની સુંદરતા અને જાહેર સુવ્યવસ્થાને અવરોધતા હતા.પોલીસ અને પાલિકાની આ મોટી સંખ્યામાં હાજર ટીમ દ્વારા આ ઝુંબેશને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:26 pm

મોરબીમાં રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખની ચોરી:440 કિલો વાયર, 12 મોટર બોડી, CCTV કેમેરા સહિત મુદ્દામાલ ગાયબ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે. તસ્કરો 440 કિલો વાયર, 12 ઇલેક્ટ્રિક મોટરની બોડી, સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિતની વસ્તુઓ લઈ ફરાર થયા હતા. દુકાનના માલિક મનીષભાઈ રામજીભાઈ મેરજા (ઉંમર 40, રહે. ગજાનંદ પાર્ક, તુલસીશ્યામ એપાર્ટમેન્ટ, કેનાલ રોડ, મોરબી) દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની દુકાન લખધીરપુર રોડ પર પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં દુકાન નંબર-4 માં 'ન્યુ પટેલ રીવાઇન્ડિંગ' નામથી આવેલી છે. ફરિયાદ મુજબ, તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરીને પ્રવેશ કર્યો હતો. તેઓ દુકાનમાંથી ઇલેક્ટ્રિક મોટર રિપેરિંગ માટે રાખવામાં આવેલો 280 કિલો નવો કોપર વાયર, સબમર્સિબલ મોટરનો 100 કિલો નવો વાયર, 60 કિલો કોપર વાયરનો ભંગાર, 12 ઇલેક્ટ્રિક મોટરની બોડી, એક ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફર કરવા માટેનું ટ્રાન્સફોર્મર, દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર ચોરી ગયા હતા. ચોરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,98,200 આંકવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:26 pm

વડોદરામાં સગીરા પર દુષ્કર્મ:સમા વિસ્તારમાં 30 વર્ષીય યુવકે 15 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું, પીડિતાને હાલ 6 મહિનાનો ગર્ભ, આરોપી ફરાર

વડોદરા શહેરના સમા વિસ્તારમાં 30 વર્ષીય યુવકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવી હતી. સમા પોલીસે આરોપી સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય જીતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા 15 વર્ષીય સગીરાને પોતાના પ્રેમજાળામાં ફસાવી હતી. ત્યારે આ યુવક છેલ્લા એક વર્ષથી સગીરાના વાતચીત કરવાના બહાને તેના ઘરે અવાર-નવાર બોલાવી સગીરા સાથે વારંવાર તેની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધતો હતો. જેના કારણે 15 વર્ષની સગીર દીકરીને છ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી દીકરી માસિક ધર્મમાં નહી આવતા તેની માતાને શંકા ગઇ હતી. જેથી માતાએ તેને ડોક્ટર પાસે લઇ જઇને મેડિકલ ચકાસણી કરાવવામાં આવી હતી, ત્યારે સગીરાના પેટમા 6 મહિના ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સગીરાના માતાએ સમા પોલીસ સ્ટેશનમાં વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી જિતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી જિતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા આરોપીને અલગ-અલગ ટીમો બનાવી આરોપીને હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા પીડિત સગીરાનું મેડીકલ કરીને સગીરાના કુટુંબીજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:21 pm

મોરબીના ભારતનગરમાં દબાણ હટાવવા નોટિસ:સ્થાનિકોની રજૂઆત બાદ કમિશનરે દસ દિવસનો સમય આપ્યો

મોરબી મહાનગરપાલિકાએ ભારતનગર વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનના નિર્માણ માટે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે. શરૂઆતમાં ત્રણ દિવસની મુદત અપાઈ હતી, પરંતુ સ્થાનિકોની રજૂઆત બાદ કમિશનરે દસ દિવસનો સમય આપ્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આધુનિક ફાયર સ્ટેશન બનાવવાની યોજના ઘણા સમયથી ચાલી રહી છે. અગાઉ સર્કિટ હાઉસ સામે પણ દબાણ હટાવવાની કાર્યવાહી થઈ હતી. હવે ભારતનગર વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનને મંજૂરી મળતાં ત્યાંના જૂના દબાણો હટાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાપાલિકા દ્વારા ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ મળતાં ભારતનગરના સ્થાનિક રહેવાસીઓ મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લા 40 થી 50 વર્ષથી આ વિસ્તારમાં રહે છે અને આશરે 200 થી 250 જેટલા પરિવારો ત્યાં વસવાટ કરે છે. સ્થાનિકોએ આટલા ટૂંકા ગાળામાં ક્યાં જવું તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમની રજૂઆત સાંભળીને કમિશનરે દબાણ દૂર કરવા માટે કુલ દસ દિવસનો સમય આપ્યો છે. જો આ મુદત દરમિયાન લોકો સ્વેચ્છાએ દબાણ નહીં હટાવે, તો સરકારી બુલડોઝર દ્વારા તમામ દબાણો તોડી પાડવામાં આવશે તેમ જણાવાયું છે. રજૂઆત કરવા આવેલા લોકોએ જણાવ્યું કે આટલા દિવસમાં નવા મકાનો શોધવા ક્યાં જવું. આ વિસ્તારના લોકોને આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવાના હતા, પરંતુ તે હજુ સુધી મંજૂર થયા નથી. ત્યારે અહીં રહેતા મધ્યમ વર્ગના પરિવારો સામે રહેઠાણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:20 pm

LCBએ ગોધરા, કાલોલના ત્રણ વોન્ટેડ આરોપી ઝડપ્યા:રાયોટિંગ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગોધરા અને કાલોલ પોલીસ સ્ટેશનના ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ રાયોટિંગ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. આ કાર્યવાહી ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પ્રથમ બનાવમાં, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના રાયોટિંગ ગુના (ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૪૨૫૧૦૦૨/૨૦૨૫) હેઠળ વોન્ટેડ આરોપી શૈલેષભાઇ જશવંતભાઇ ચૌહાણ (રહે. વીંઝોલ મંદિર ફળીયું, તા. ગોધરા) ને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો. LCBના એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહને મળેલી બાતમીના આધારે આ ધરપકડ કરાઈ હતી. આ જ રાયોટિંગ ગુનામાં, અન્ય એક વોન્ટેડ આરોપી નીતીનકુમાર રાજેન્દ્રસિંહ ચૌહાણ (રહે. વીંઝોલ મંદિર ફળીયું, તા. ગોધરા) ને પણ તેના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો. LCBના અ.હે.કો. વિક્રમભાઈ મધુરભાઈને મળેલી બાતમીના આધારે આ ધરપકડ થઈ હતી. બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ત્રીજા બનાવમાં, કાલોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુના (ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬૨૫૦૯૬૩/૨૦૨૫) હેઠળ વોન્ટેડ આરોપી ઇરફાન અબ્દુલ રહેમાન શેખ ઉર્ફે બોરસદીયો (રહે. સિગ્નલ ફળીયા, ઇસા મસ્જીદ પાસે, ગોધરા) ને ડોકટરના મુવાડા ગામે પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ માહિતી LCBના આ.પો.કો. નરેશકુમાર કાન્તીલાલને બાતમીદાર દ્વારા મળી હતી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ, LCB ગોધરા દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઓપરેશનમાં એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહ, અ.હે.કો. વિક્રમભાઇ મધુરભાઈ, આ.પો.કો. યોગેશકુમાર સુભાષચંન્દ્ર અને આ.પો.કો. નરેશકુમાર કાન્તીલાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:11 pm

રાજકોટ સમાચાર:રાજકોટમાં 13 ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, અત્યાર સુધીમાં 30 હજારથી વધુ રજિસ્ટ્રેશન

રાજકોટ જિલ્લામાં આગામી 13 ડિસેમ્બર, શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા લોક અદાલત રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં યોજાશે, જેમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસો તેમજ કોર્ટમાં દાખલ થાય તે પહેલાંના (પ્રી-લીટીગેશન) કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં મુખ્યત્વે ચેક રીટર્ન, બેન્ક લેણાં, અકસ્માત વળતર, ફેમિલી મામલાઓ સહિત અનેક પ્રકારના કેસો હાથ ધરવામાં આવશે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહે જાહેર જનતાને આ રાષ્ટ્રીય લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી છે. લોક અદાલતનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા સમાધાનથી કેસનો નિકાલ થતો હોવાથી તેમાં કોઈની જીત કે પરાજય થતો નથી અને પક્ષકારો માટે અપીલનો જંજાળ પણ ટળી જાય છે. રાજકોટ જિલ્લા કોર્ટના સેક્રેટરી હરેશ જોટાણીયાએ માહિતી આપી હતી કે જે પક્ષકારો પોતાના કેસ લોક અદાલતમાં મૂકાવવા ઈચ્છતા હોય, તેઓ પોતાના વકીલ અથવા સંબંધિત કોર્ટનો સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી કરી શકે છે. લોક અદાલતમાં કેસ આવવાથી કોઈનો વિજય કે પરાજય થતો નથી. બંને ઘરે દિવા પ્રગટે છે. અત્યાર સુધી 30 હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજકોટ મનપામાં જન્મ-મરણ પોર્ટલ 'લોક' થતાં અનેક અરજદારો પરેશાન રાજકોટ મનપાનાં જન્મ-મરણ વિભાગમાં છેલ્લા બે દિવસથી કામકાજ ઠપ્પ થઈ ગયું છે. રાજ્ય સરકારના પોર્ટલ ઉપર રહેલો 2020 થી 2025 સુધીનો રેકોર્ડ એકાએક લોક થઈ જતાં દાખલાઓમાં સુધારા કરાવવા આવતા રોજના આશરે 150 જેટલા અરજદારોને ભારે ધક્કા ખાઈને પાછા ફરવું પડે છે. પોર્ટલ કેમ બંધ થયું અને ક્યારે શરૂ થશે, તેનો સંતોષકારક જવાબ ગાંધીનગરથી પણ ન મળતા સ્થાનિક અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. છેલ્લા છ માસથી અલગ અલગ પોર્ટલના ડખ્ખાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. કેન્દ્ર સરકારના આ પોર્ટલ પર તાજેતરમાં ભળેલા માધાપર, મુંજકા, મનહરપુર-1, ઘંટેશ્વર, મોટામવા સહિતના ગામોના ડેટા પણ કાર્યરત થયા હતા, પરંતુ પોર્ટલ બંધ થતાં આ વિસ્તારોના લોકોના અગત્યના કામો તેમજ 5 વર્ષ સુધીના બાળકોના જન્મના દાખલામાં નામ ઉમેરવા સહિતના કામો પણ અટકી પડ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશને રાષ્ટ્રપતિનાં હસ્તે એવોર્ડ રાજકોટમાં દિવ્યાંગો માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ એવોર્ડ એનાયત કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો માટેની સરકારની વિવિધ યોજનાઓનો સુચારૂરૂપથી અમલ અને સાધન સહાય દિવ્યાંગોને પુરી પાડવામાં રાજકોટ જિલ્લો રાજયભરમાં મોખરે રહ્યું છે. રાજકોટ જિલ્લામાં દિવ્યાંગો આત્મનિર્ભર બને અને કેન્દ્ર સરકારની યોજનાઓનો દિવ્યાંગોને જરૂરી લાભ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત દિવ્યાંગો માટે 27 જેટલા મેગા કેમ્પો રાજકોટ જિલ્લામાં આયોજીત કરવામાં આવ્યા હતા. આ મેગા કેમ્પો મારફત 2454 જેટલા દિવ્યાંગ લાભાર્થીને સરકારની વિવિધ યોજના હેઠળ રૂા.3.50 કરોડના સાધનો અને સહાયનું વિતરણ કરવામાં આવે તો દિવ્યાંગ લાભાર્થીઓને 4314 જેટલા સાધનો પુરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આભા કાર્ડ પણ દિવ્યાંગ લાભાર્થીઓને કાઢી આપવામાં આવ્યા હતા. જેને લઈને રાષ્ટ્રપતિ દ્વારા જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશને રાષ્ટ્રપતિનાં હસ્તે નેશનલ એવોર્ડ અપાયો છે. રાજકોટ AIIMSમાં ગુણવત્તાયુક્ત લેબ સેવાઓ ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો રાજકોટ એઈમ્સના માઇક્રોબાયોલોજી વિભાગના વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL) દ્વારા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) ના સહયોગથી દેશમાં પ્રથમ વખત ISO 15189:2022 (તબીબી પ્રયોગશાળામાં ગુણવત્તા અને યોગ્યતા માટેની આવશ્યકતાઓ) ઉપર કેન્દ્રિત બે દિવસીય ગુણવત્તા પાઠશાળા તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તા યુક્ત રિપોર્ટ સુનિશ્ચિત કરવાનો હતો, જેમાં માનવ અને મશીન બંનેની ભૂમિકા મહત્ત્વની છે. આ કાર્યક્રમમાં 60થી વધુ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એઇમ્સ રાજકોટના ફેકલ્ટી સભ્યો, સંશોધન સ્ટાફ અને રાજ્યની વિવિધ સરકારી તેમજ ખાનગી લેબોરેટરીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એલ.એન.દોરૈરાજને ચોકસાઈ અને દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રયોગશાળા સેવાઓમાં મજબૂત ગુણવત્તાના ધોરણો જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. VRDL ના ડીન (સંશોધન) પ્રો. (કર્નલ) અશ્વિની અગ્રવાલે NABL માન્યતા પ્રાપ્ત કરવા અને વિશ્વ કક્ષાની નિદાન સંભાળ પ્રદાન કરવા માટેની સંસ્થાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજકોટ મહાપાલિકામાં PMU પ્રોજેક્ટ પર કમિશનર અને શાસકો વચ્ચે ગજગ્રાહની શક્યતા રાજકોટ મનપા દ્વારા કરોડોના પ્રોજેક્ટોનું સમયસર અને યોગ્ય મોનીટરીંગ કરવા માટે દિવાળી પૂર્વે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ (PMU)ની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે 35 એન્જિનિયરોની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, મ્યુ. કમિશનર દ્વારા આ યુનિટનું કામ એક આંતરરાષ્ટ્રીય કંપનીને રૂ. 7 કરોડના ખર્ચે સોંપવાની દરખાસ્ત ભાજપ શાસિત સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધી હતી. જોકે હવે કમિશનર તુષાર સુમેરાએ આ આયોજનને અનિવાર્ય ગણાવી આ દરખાસ્ત ફરી સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાનો નિર્ણય કર્યો છે. અગાઉ નામંજૂર થયેલી દરખાસ્ત ફરી રજૂ થતાં, આગામી બેઠકમાં શાસક પક્ષ અને કમિશનર વચ્ચેનાં મતભેદો સપાટી પર આવે તેવા સંજોગો ઊભા થયા છે, જે વિવાદનું કેન્દ્ર બની શકે છે. અને શાસકો તેમજ મ્યુ. કમિશનર વચ્ચે ગજગ્રાહની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:02 pm

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:ગોત્રીમાં 22 વર્ષીય ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, તરસાલીમાં પાણીની લાઈન નાંખવા માટે મંગાવેલી 5.87 લાખની પાઈપોની ચોરી

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવ્યા બાદ વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીનું મેડિકલ કરાવીને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતા ઓમકાર મધુભાઇ સોલંકી (ઉં.વ.22) સોશિયા મીડિયા પરથી ગોત્રી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે સંપર્કમાં આવ્યો હતો અને એકબીજાના મોબાઇલ નંબરની મેળવી લીધા હતી. ત્યારબાદ સતત ફોન પર ચેટિંગ તથા કોલથી વાતો કરતા રહેતા હતા. જેથી બંને વચ્ચે સંબંધ ગાઢ બન્યાં હતા. 6 મહિનાથી બંને વચ્ચે પ્રેમસંબંધ હોય સગીરાને ફરવા લઇ જવાના બહાને ઇકો ચાલક ઓમકાર સોલંકીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ફોન પર વાત કરતી સગીરાના તેના માતા પિતા જોઇ જતા તેની પુછપરછ શરૂ કરી હતી. જેથી સગીરાએ તેના માતા પિતાના તમામ હકીકતથી વાકેફ કર્યાં હતા ત્યારે તેના પરિવારના સભ્યોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આરોપી ઓમકાર સોલંકીની ધરપકડ કરી લીધી હતી, ત્યારબાદ મેડિકલ પણ કરાવવામાં આવ્યાં હતા. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરવા માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરતા મેજિસ્ટ્રેટ દ્વારા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.તરસાલીમાં પાણીની લાઈન નાંખવા માટે મંગાવેલી 5.87 લાખની કિંમતની પાઈપોની ચોરી બીજી તરફ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નવા ડેવલોપ થતા વિસ્તારમાં પાણીની ટાંકી તથા પાણીની પાઈપ લાઈન નાખવા પાઇપો મંગાવી હતી. આ દરમિયાન કેટલાક તસ્કરો દ્વારા આ પાઇપો પૈકી રૂપિયા 5.87 લાખની પાઇપો આઇસરમાં ભરીને ચોરી કરીને લઈ ગયું હતું. જેથી કોન્ટ્રાક્ટરે આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર છું. વડોદરામાં ચાલતી સાઈટનું સુપરવિઝન હર્ષદકુમાર કાશીરામ પટેલ કરે છે. આકાર કન્ટ્રક્શનને વડોદરા મહાનગર તરસાલી વિસ્તારમાં નવા ડેવલોપ થતા વિસ્તારમાં પાણીની ટાંકી તથા પાણીની પાઇપ લાઈન નાંખવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી પાણી પુરવઠા શાખાના જણાવ્યા નવી પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જેના માટે પાણીની પાઈપો મંગાવવામાં આવી હતી, જે પાઇપી પ્રોજેક્ટમાં જણાવ્યા મુજબની જગ્યાએ જરૂરીયાત મુજબ જાહેરમાં રોડ સાઇડમાં ઉતારી હતી, જેમાં તરસાલી સમૃદ્ધિ સોસાયટી તથા શિવાલય રેસીડન્સી પાસે જાહેર ખુલ્લી જગ્યામાં રોડ સાઇડ કાળા કલરની પાણીની નાની-મોટી સાઇઝની પાઈપો ઉતારી હતી. આ દરમિયાન સુપરવાઈઝર તરીકે કામ કરતા અમૃતભાઈ પટેલનો મને ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તરસાલીવાળી સાઇટ ઉપર ઉતારેલ પાણીની પાઈપોની ચોરી થઈ છે, જેથી અમારા સાઈટ સુપરવાઈઝર હર્ષદકુમાર પટેલ મારફતે કેટલા પાઈપોની ચોરી થઇ છે, તે બાબતે ખરાઇ કરી હતી. તરસાલી સમૃદ્ધિ સોસાયટી પાસે જાહેર ખુલ્લી જગ્યામાંથી 5.87 લાખની કિંમતની 27 પાઇપોની ચોરી કરી ચોરો લઇ ગયેલ હતા. જેથી મકરપુરા પોલીસે ફરિયાદના આધારે પાઈપોની ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:55 pm

અક્ષરધામ વિસ્તારમાં સેનિટેશન શાખાનું સઘન ચેકિંગ:ખાદ્યચીજોનું વેચાણ કરતા 32 એકમોની ચકાસણી કરી 25 એકમોને નોટિસ પાઠવી, બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરાયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાના પગલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરના સુપ્રસિદ્ધ અક્ષરધામ વિસ્તારમાં એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનિટેશન શાખા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ તપાસ ઝુંબેશમાં ખાદ્યચીજોની ગુણવત્તા, હાઈજીન અને કચરાના નિકાલ જેવી બાબતો પર કડક કાર્યવાહી 25 એકમો ને નોટિસ પણ આપવામાં આવી હતી. નાસ્તાની લારી-દુકાનો પર સરપ્રાઈઝ ફૂડ ક્વોલિટી ચેકિંગ સ્ટ્રાઈકનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળો આસપાસ હોટલ અને નાસ્તાની લારી-દુકાનો પર સરપ્રાઈઝ ફૂડ ક્વોલિટી ચેકિંગ સ્ટ્રાઈક કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનિટેશન શાખા ગાઢ નિંદ્રા માંથી જાગીને આજે દોડતી થઈ ગઈ હતી. 32 જેટલા ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમોની ચકાસણી કરાઈસેનિટેશન શાખાની ટીમે અક્ષરધામ વિસ્તારમાં વિશેષ ડ્રાઈવ યોજી કુલ 32 જેટલા ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમોની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટીમને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલ જથ્થામાં 162 નંગ બ્રેડ અને પાઉ, 12 કિલોગ્રામ શંકાસ્પદ ચટણી અને પાણીપુરી માટેના 8 કિલોગ્રામ બાફેલા બટાકા હતા. નોટિસ પાઠવી નીયમ ભંગ બદલ દંડ વસૂલાયોઆ ઉપરાંત સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતી અને નાસ્તો પીરસવા માટે ઉપયોગમાં લેવાતી આશરે 3.5 કિલોગ્રામ પસ્તી પણ જપ્ત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં, ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગુણવત્તાની ખાતરી કરવા માટે સ્થળ પર જ વૈજ્ઞાનિક પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ખાદ્ય તેલના ટીપીસી ની 5 માપણી અને આયોડિનની 4 ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે સ્વચ્છતાના નિયમોનો ભંગ અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતા કુલ 25 એકમોને નોટિસ આપી નિયમ ભંગ બદલ કસૂરવાર વેપારીઓ પાસેથી કુલ રૂ. 3 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:46 pm

કણકોટમાં શરત ભંગ થતા રૂ.12 કરોડની જમીન સરકાર હસ્તક:વૃક્ષોના વાવેતરના હેતુ માટે 30 વર્ષ પહેલા આપેલી 5 હેક્ટર જમીન પડતર હોવાથી વહિવટી તંત્રની કાર્યવાહી

રાજકોટ નજીકના કણકોટમાં વૃક્ષોના વાવેતરના હેતુ માટે કલેકટર દ્વારા વર્ષો પૂર્વે અલગ અલગ ત્રણ સંસ્થાઓને ફાળવાયેલી 5 હેક્ટર જમીનમાં શરતભંગ થતા આ જમીન સરકાર હસ્તક લેવા સીટી પ્રાંત-2 અધિકારી મહેક જૈન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ જમીનની હાલની અંદાજીત કિંમત રૂ.12 કરોડ જેટલી થાય છે. સરકાર હસ્તકની આ જમીન 30 વર્ષ પહેલા ફળ અને ઝાડના વાવેતર માટે આપવામાં આવી હતી જોકે ત્યાં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવતા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, કલેકટર દ્વારા તા.21-4-94ના સોસાયટી ફોર નેચર એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેકશન સ્ટડી નામની સંસ્થાને સર્વે નં.342 પૈકી-1ની હે.1-01-16 ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત તા.2-3-1996ના મહર્ષિ દયાનંદ સંસ્થાને સર્વે નં. 342 પૈકી 22ની હે.2-02-34 ચો.મી. જમીન આપવામાં આવી હતી.જ્યારે તા.13-4-1994ના નરસિંહ મહેતા પર્યાવરણ ફાઉન્ડેશનને સર્વે નં.342 પૈકી 19ની હે.1-01-17 ચો.મી. જમીન મળી કુલ હે.5-05-84 ચો.મી. જમીન આ ત્રણેય સંસ્થાઓને ફૂલ ઝાડના હેતુ માટે નવી અને અવિભાજય અને નિયંત્રીત શરતોને આધીન ભાડા પટ્ટે ફાળવવામાં આવી હતી. જોકે આ તમામ ભાડા પટ્ટાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ભાડાપટ્ટો રીન્યુ ઉપરોકત સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો ન હતો તેમજ કલેકટર તંત્રના હુકમની શરતો મુજબ આ ફાળવાયેલ જમીનમાં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં નહીં આવ્યાનું ખુલ્યુ હતુ. આ અંગે કરાયેલ તપાસમાં રૂ.12 કરોડની અંદાજીત કિંમતની આ જમીનમાં શરતભંગ થયાનું ખુલતા આ અંગેનો કેસ સીટી પ્રાંત-2 અધિકારી સમક્ષ ચલાવવામાં આવેલ હતો. જેમાં પક્ષકારોને રજૂઆત માટે પૂરતી તક આપવામાં આવી હતી. આ પ્રકરણના તમામ કિસ્સાઓમાં મુળ હુકમની શરતોનો ભંગ થતો હોવાનું સ્પષ્ટપણે ફલીત થતા સીટી પ્રાંત-2 અધિકારી દ્વારા આ તમામ કિંમતી જમીનને સરકાર હસ્તક લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:43 pm

વલસાડના ‘વિશ્વંભરીધામ’ની પોલ ખોલનાર વકીલનું અપહરણ:RTIનું મનદુઃખ રાખી હુમલો કરી સંજય કાપડીયા અને બે મિત્રોને ઉપાડી ગયા, જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીને ઝડપ્યા

કાયદાના શાસન અને પારદર્શિતા માટે લડત આપતા એક વકીલ પર ગુજરાતમાં હીચકારો હુમલો અને અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે રહેતા એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ વલસાડ સ્થિત બે ધાર્મિક ટ્રસ્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ RTI દ્વારા માહિતી માંગી હતી. આ માહિતીના આધારે સરકારી તંત્ર દ્વારા ટ્રસ્ટો વિરુદ્ધ કડક કાર્યવાહી થતાં મનદુઃખ રાખીને ટ્રસ્ટ સાથે સંકળાયેલા આરોપીઓએ વકીલ સંજયભાઈ અને તેમના બે સાથીઓનું તેમના જ ગામ નજીકથી અપહરણ કર્યું હતું. જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ ફિલ્મી ઢબે અપહરણકારોને પકડી પાડ્યા છે. જૂનાગઢ ગ્રામ્ય Dy.SP રવિરાજસિંહ પરમાર દ્વારા અપાયેલી માહિતી અને ફરિયાદી સંજય કાપડીયાના નિવેદન પરથી સમગ્ર ઘટનાક્રમ અને તેની પાછળના કારણોનો ખુલાસો થયો છે. વિશ્વમંભરી મંદિરમાં ગેરરિતીની શંકાએ RTI દ્વારા વિગત માગી હતી​ફરિયાદી સંજય કાપડીયાના જણાવ્યું કે, તેઓ થોડા સમય પહેલાં વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલા વિશ્વમંભરી મંદિર ખાતે ગયા હતા અને 100 રૂપિયાનું દાન કર્યું હતું. તેમને આપવામાં આવેલી પહોંચમાં ગેરરીતિની શંકા જતાં, તેમણે ચેરીટી કમિશનર કચેરી વલસાડ ખાતેથી RTI દ્વારા માહિતી માગી હતી. ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ જાહેર થઈ​આ RTIની લડતના કારણે મા વિશ્વમંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને મા વિશ્વવિધાતા ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ જાહેર થઈ હતી, જેમાં ટ્રસ્ટના પરિસરમાં ફૂડ વિભાગ દ્વારા રેડ કરીને ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. આ દવાખાનું સીલ કરવામાં આવ્યું હતું અને 6 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાઠશાળાના નામે બિનખેતીની જમીન પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, અને ખુલ્લી જમીનના દસ્તાવેજો કરીને સરકારની કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા લાખો રૂપિયાનો દંડ થાય તેવી શક્યતા છે. બદલાની ભાવનાથી હુમલો અને અપહરણનું કાવતરું રચ્યુંવિશ્વવિધાતા ચેરીટેબલ ટ્રસ્ટની ઉપર, પાઠશાળાના બિલ્ડિંગના ઉપરના માળે ફાઇબર મટિરિયલથી 'હિમાલય'ની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. સંજય કાપડીયાએ વલસાડ કલેક્ટરને રજૂઆત કરી હતી કે ભૂતકાળમાં TRB કાર્ડ અને અન્ય અગ્નિકાંડના બનાવોની જેમ અહીં પણ મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમની રજૂઆત બાદ વલસાડ તાલુકા વિકાસ અધિકારી અને રાબડા ગ્રામ પંચાયત કક્ષાએથી આ ગેરકાયદેસર પ્રતિકૃતિને તાત્કાલિક દૂર કરવા/સીલ કરવાના આદેશો થયા હતા. જોકે, સરપંચ અને તલાટી દ્વારા પોલીસ રક્ષણ માગવા છતાં આ પ્રતિકૃતિ સીલ થઈ નહોતી. ટ્રસ્ટની કેન્ટીનોમાં તોલમાપમાં ગેરરીતિઓ બદલ દંડ થયો હતો અને અન્ય પાંચ એકમો પણ સીલ થયા હતા. સંજય કાપડીયાની RTIના પગલે ટ્રસ્ટો પર આવેલી આફતનું મનદુઃખ રાખીને, ટ્રસ્ટ સાથે સંકળાયેલા આરોપીઓએ તેમની સામે બદલાની ભાવનાથી હુમલો અને અપહરણનું કાવતરું રચ્યું હતું. અજાણ્યા લોકો અને મહિલાઓ સફેદ અર્ટીગા અને ક્રેટા લઈ આવી ચડ્યા​Dy.SP રવિરાજસિંહ પરમાર જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના 4:00 વાગ્યાની આસપાસ ફરિયાદી સંજય કાપડીયા તેમના મિત્રો રાજેશ સાહુ અને રવિ પાસવાન સાથે જેતપુર રોડ નજીક આવેલી શ્યામ હોટલ પાસે ઊભા હતા. તે સમયે પંકજ પાદરા, પ્રશાંત ડેડકીયા, મિત વેકરિયા, ધવલ ગડારા, સાગર ગામી, સુરેશ અમીપરા સહિત અન્ય અજાણ્યા લોકો અને મહિલાઓ સફેદ અર્ટીગા અને ક્રેટા કારમાં અચાનક આવી ચડ્યા હતા. ​આરોપીઓએ સંજય કાપડીયા સાથે બોલાચાલી શરૂ કરી અને તેમને તથા તેમના મિત્રોને બેટ અને ઢીકાપાટુથી માર મારવાનું શરૂ કર્યું. ત્યારબાદ સંજય કાપડીયા, રાજેશ સાહુ અને રવિ પાસવાનનું બળજબરીથી અપહરણ કરી ગાડીઓમાં બેસાડી રફાળીયા ગામથી ધંધુકા તરફ, જસદણ-વિછીયા થઈને લઈ જવામાં આવ્યા હતા. આંગળીઓ કાપી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીસંજય કાપડીયાના કહેવા મુજબ અપહરણ દરમિયાન આરોપીઓએ સંજય કાપડીયાની મોટર સાઈકલ અને ત્રણેય મિત્રોના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. આરોપીઓએ રસ્તામાં તેમને ઢોર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે તું RTIના કાગળો આપી દે અને અમારા વિશ્વમંભરીધામને થયેલું આર્થિક નુકસાન ભરપાઈ કરી આપ, નહીં તો તને સુડીથી આંગળીઓ કાપી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ તેમને જણાવ્યું કે, 'ભૂતકાળમાં પણ અમે જૂનાગઢના બાવાઓને મારેલા છે, ટોબરામાં બાવાઓ પર શું થયું હતું ?' આ વાત કરીને આરોપીઓ તેમને સંજય કાપડિયા અને તેના મિત્રોને ડરાવ્યા હતા. પોલીસે બાતમી આઘારે વોચ ગોઠવી અપહરણકર્તાઓને ઘેર્યા​આ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી. સ્થાનિક પોલીસે જૂનાગઢ એસપીને જાણ કરતા તેમણે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવા અને અપહરણકર્તાઓને પકડવા સૂચના આપી હતી. ભેસાણ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીઓ ફરિયાદીને ધંધુકા તરફ લઈ ગયા હોવાની બાતમી મળતાં ધંધુકા Dy.SPનો સંપર્ક કરવામાં આવ્યો. ધંધુકા પોલીસે શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભેસાણ પોલીસની ટીમ પણ ધંધુકા ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલી વોચના કારણે, અપહરણકર્તાઓ ફરિયાદી સંજય કાપડીયા અને તેના મિત્રોને લઈને તે રસ્તા પરથી પસાર થતાં જ પોલીસે તેમને ઘેરી લીધા હતા. અપહરણ કરનારા 4 જેટલા મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા​પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણ કરનારા 4 જેટલા મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં રાબોડા ગામના પ્રશાંત સુરેશભાઈ ડેડુકિયા, નવસારીના કમલેશ ધીરુભાઈ રૂડાણી, મિત જગદીશ વેકરિયા, અને વડોદરાના અજય માસ્તર હીરા બોઘરા નો સમાવેશ થાય છે. ભેસાણ પોલીસે સંજય કાપડીયા અને તેમના મિત્રોને આરોપીઓની ચુંગાલમાંથી સલામત રીતે છોડાવ્યા હતા. આ ગુનામાં ચંદુભાઈ પંકજ પાદરા, અનિલ, ધવલ ગડારા, સુરેશ અમીપરા, અજાણ્યા ઇસમો, અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વકીલે RTI કર્યા બાદ ગેરરીતિ સામે આવ્યા બાદ 'વિશ્વંભરીધામ’ સામે લેવાયેલા પગલાં આ પણ વાંચો: ગેરકાયદે આયુર્વેદિક દવા ઉત્પાદન ઝડપાવાનો મામલો:વલસાડના વિશ્વંભરી મંદિરમાંથી 6 લાખનો મુદ્દામાલ જપ્ત, લાઇસન્સ વગર ચાલતું હતું અવૈધ કારખાનું આ પણ વાંચો: વલસાડમાં ગેરકાયદે આયુર્વેદિક દવા ઉત્પાદન ઝડપાયું:વિશ્વંભરી મંદિર પાછળ અવૈધ કારખાનું ચાલતું, વિવિધ દવાઓ અને મશીનરી જપ્ત આ પણ વાંચો: ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલી પ્રતિકૃતિના મામલે વિવાદ:વલસાડ રાબડા ધામમાં પરવાનગી વિના બનેલી જોખમી હિમાલય પ્રતિકૃતિ સીલ કરવાનો આદેશ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:29 pm

દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ:રાજકોટમાં સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં દોઢ વર્ષે ન્યાય મળ્યો, મદદગારી કરનાર મહિલાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 ના ફેબ્રુઆરી માસમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં નીતિન બગથરીયાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી છે જ્યારે મદદગારી કરનાર મધુબેન ધકાણને 10 વર્ષની સજા રાજકોટ શેસન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટ દ્વારા કડક સજા સંભળાવી દાખલો બેસાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગત તા.1 ફેબ્રુઆરી, 2024 માં સગીરા પર દુષ્કર્મ કેસમાં ભક્તિનગર પોલીસ મથકમાં નીતીન રવજીભાઇ બગથરીયા (ઉ.વ.35, ૨હે મેહુલનગર શેરીનં.5, સંસ્કૃતી એપાર્ટમેન્ટ બ્લોક નં.306 કોઠારીયા મેઇન રોડ) અને મધુબેન કીરીટભાઈ ગોકળભાઈ ધકાણ (ઉ.વ.39, રહે. આનંદનગર મેઇન રોડ) વિરુધ્ધ IPC કલમ 376(3), 376(2) અને પોકસોની કલમ હેઠળ ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, સગીર વયની દિકરીને મુખ્ય આરોપી નીતિન બગથરીયાએ લલચાવી તેમજ ધમકાવી હતી અને મધુબેનની મદદથી તેના ઘરે અવાર-નવાર દુષ્કર્મ આચરી સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતુ. જેના આધારે ભકિતનગર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. જે અંગેનો કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા નિતીન બગથરીયાને જ્યાં સુધી જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તો મધુબેનને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ બન્ને આરોપીઓને દંડ અને ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:21 pm

ભાવનગરની ટીમે ગુજરાતનું ગૌરવ વધાર્યું:ભાવનગરના સ્કાઉટ ગાઈડ્સનો ડાયમંડ જ્યુબિલી નેશનલ જમ્બોરીમાં શ્રેષ્ઠ દેખાવ, કેમ્પમાં 'A' ગ્રેડ મેળવ્યો

રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ડાયમંડ ફિનાલે જમ્બોરી સંપન્ન ધ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ન્યુ દિલ્હી દ્વારા 19 મી નેશનલ જમ્બોરી તેમજ ડાયમંડ ફિનાલે 75 વર્ષની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ લખનૌ ખાતે સાત દિવસય દરમિયાન સ્કાઉટ ગાઈડ જમ્બોરી કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘએ લખનૌ મુકામે ડાયમંડ જ્યુબીલી નેશનલ જમ્બોરીમાં શ્રેષ્ઠ દેખાવ કરતા ભાવનગરના સ્કાઉટ ગાઈડ, આ વેળાએ 10 દેશ અને 45થી વધુ રાજ્યના 35,000 સ્કાઉટ ગાઈડ એકત્ર થયા હતા. કેમ્પનું ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પૂર્ણાહુતિમાં ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્કાઉટ ગાઈડને પર્યાવરણને અનુકૂળ થઈને જીવન જીવવાની ટેવ પાડવા અનુરોધ કર્યો હતો, જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા સેવાથી જ વિશ્વ શાંતિ માટે ભારત દેશ આકાર લેશે અને તેમાં યુવાનોનું મોટું યોગદાન રહેશે એ વાત કરી હતી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જમ્બોરીની વિશાળ મેદની જોઈ પ્રયાગરાજના કુંભને યાદ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ભારત વિકસિત ભારત વિકસિત યુવા થીમ પર આ જાંબુરી થઈ રહી છે તેના અભિનંદન પાઠવ્યા હતા આ કેમ્પ દરમિયાન કેમ્પ ફાયર, માર્ચ પાસ્ટ, રંગોલી, કેમ્પ ક્રાફ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે, પ્રદર્શન, કલર પાર્ટી, ફૂડ પ્લાઝા, બેન્ડ, સ્ટેટ ગેટ જેવી સ્પર્ધામાં ગુજરાતે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, કેમ્પનું આકર્ષણ એડવેન્ચર એક્ટિવિટી, ફન એક્ટિવિટી, ગ્લોબલ વિલેજ નાઈટ ટ્રેકિંગ રહ્યા હતા, જેમાં ભાવનગર કન્ટીજનને એ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો આ કેમ્પમાં વિદ્યાધીશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, દક્ષિણામૂર્તિ સંસ્થા, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ રોવર ક્રૃ, રાણી લક્ષ્મીબાઈ રેંજર ટીમના સભ્યો જોડાયા હતા અને દર ચાર વર્ષે યોજાતા સ્કાઉટીંગ પ્રવૃતિના કુંભમાં ભાગ લીધો હતો, રાજ્યના એક્ટિવિટી ઓફિસર તરીકે ભાવનગરના જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટે જવાબદારી સંભાળી હતી, જ્યારે ગાઈડ કેપ્ટન તરીકે સરલાબેન સાકળીયા બાળકો સાથે રહ્યા હતા, સ્કાઉટ ગાઈડની સમગ્ર સફળતા માટે જિલ્લા સંઘના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:20 pm

વિદ્યાનગરની મોકા રેસ્ટોરન્ટ સીલ:કરમસદ-આણંદ મનપાની તપાસમાં અસ્વચ્છતા, અખાદ્ય ખોરાક મળ્યો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં જાહેર સ્વચ્છતા અંગે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે વિદ્યાનગર ખાતે આવેલી મોકા રેસ્ટોરન્ટમાં તપાસ કરતા ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. ટીમને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ, અખાદ્ય ખોરાક અને ગંદકી મળી આવી હતી. જાહેર આરોગ્ય માટે જોખમી જણાતા, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી મોકા રેસ્ટોરન્ટને સીલ કરી દીધી હતી. આ કાર્યવાહી જીપીએમસીની કલમ 376(એ) હેઠળ કાયદાકીય જોગવાઈઓને આધીન કરવામાં આવી હતી. મનપાના આરોગ્ય વિભાગે કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને સ્વચ્છતા અને હાઈજીન જાળવવા અપીલ કરી છે. વધુમાં, આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમોમાં સ્વચ્છતા ચકાસણીની ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:10 pm

અરવલ્લી SOGએ ચેઇન સ્નેચિંગના બે આરોપી ઝડપ્યા:મોડાસા બાયપાસથી 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 ગુનાનો ભેદ ઉકેલાયો

અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી વણઉકેલાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. અરવલ્લી SOG પોલીસે મોડાસા બાયપાસ રેલવે ફાટક પાસેથી ચેઇન સ્નેચિંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 3.41 લાખના સોનાના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેનાથી શામળાજી અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુનાઓનો પર્દાફાશ થયો છે. SOG ટીમ 3 તારીખે બપોરના સમયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મોડાસા રેલવે ફાટક બાયપાસ પાસે બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા હતા. પોલીસે તેમને રોકીને પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ જીતુ દેવીપૂજક અને ગુલાબ દેવીપૂજક, રહે. મહેમદાવાદ જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ ભિલોડા બસ સ્ટેશન વિસ્તારમાંથી બસમાંથી એક સોનાની ચેઇન અને શામળાજી બસ સ્ટેશન તેમજ શામળાજી મંદિર વિસ્તારમાંથી ત્રણ સોનાની ચેઇનની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. SOG ટીમે આરોપીઓ પાસેથી ચાર સોનાની ચેઇન અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આરોપીઓએ આવા અન્ય કેટલા ગુનાઓ આચર્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:03 pm

ક્રુરતાપૂર્વક બાંધેલા 24 પાડાઓને કતલખાને જતા બચાવાયા:શેરથા નજીકથી અબોલ પશુઓ ભરેલા પીકઅપ ડાલા સાથે બે ઝડપાયા, 5.96 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લાના શેરથા ટોલટેક્સ ખાતે મોડી રાત્રે એક ગેરકાયદેસર પશુ હેરફેરનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એક યુવકની સતર્કતાના કારણે અડાલજ પોલીસે ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 24 પાડાઓને બચાવી લઈ બે શખ્સોની રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાલામાં શું ભરેલું છે તે પુછતાં કંડક્ટર સીટ પર બેસેલો શખસ ભાગવા લાગ્યો અમદાવાદ બોડકદેવ ખાતે રહેતો કરણ દેવજીભાઈ ચોસલા ગઈકાલે રાત્રે મહેસાણાથી આવીને શેરથા ટોલટેક્સ ખાતે પોતાના મિત્રો સાથે ઉભો હતો. તે સમયે એક સફેદ પીકઅપ ડાલામાંથી પાડાઓના જોરદાર ભંભોરવાનો અવાજ આવતા કરણને શંકા ગઈ હતી. આથી તેણે ડ્રાઇવરને ડાલામાં શું ભરેલું છે તેમ પૂછતા જ કંડક્ટર સીટ પર બેઠેલો શખ્સ ભાગવા લાગ્યો હતો, જેને કરણ અને તેમના મિત્રોએ પકડી પાડ્યો હતો. બાદમાં તેમણે ડાલામાં જોતા પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. આ અંગે કરણે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરતા અડાલજ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી. પીકઅપ ડાલામાં 24 પાડાઓને ક્રૂરતાપૂર્વક બાંધેલા હતાબાદમાં પોલીસે પીકઅપ ડાલામાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, ડીસાના રહેવાસી ડ્રાઇવર આસીફખાન પઠાણ અને કંડક્ટર વાસીફ કુરેશીએ કુલ 24 પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતા. બંને જણાએ પાડાઓને હલનચલન ન કરી શકે તે રીતે પગ અને મોઢાના ભાગ પણ બાંધી અપુરતી જગ્યામાં એકબીજા ઉપર ખીચોખીચ ભર્યા હતા. પશુઓ માટે ઘાસચારો કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેના પગલે પોલીસે 96 હજારના પાડા અને 5 લાખનું પિકઅપ ડાલુ મળીને કુલ રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:47 pm

ખેડબ્રહ્મા-અંબાજી નવી રેલ્વે લાઇન માટે 236 કરોડ મંજૂર:કેન્દ્રીય રેલ્વે મંત્રી દ્વારા હિંમતનગર-અમદાવાદ વચ્ચે વધારાનો ટ્રેક પણ મંજૂર કરાયો

કેન્દ્રીય રેલ્વે મંત્રીએ ખેડબ્રહ્માથી મોટા અંબાજી વચ્ચે 46 કિલોમીટરની નવી રેલ્વે લાઇન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વન વિભાગની મંજૂરી સહિતના કાર્યો માટે અંદાજે ₹236 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદથી હિંમતનગર વચ્ચે 93 કિલોમીટરના વધારાના રેલ્વે ટ્રેક માટે પણ મંજૂરી અપાઈ છે. સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી સમક્ષ આ વિસ્તારમાં વધુ ટ્રેન સેવાનો લાભ મળે તે માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. બુધવારે લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન સાંસદે પૂછેલા પ્રશ્નોના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. રેલ્વે મંત્રીના જવાબમાં જણાવાયું હતું કે સાબરકાંઠા લોકસભા ક્ષેત્રમાં નવી રેલ્વે લાઇનના નિર્માણ માટે કામગીરી શરૂ કરાઈ છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રૂપાંતરનું કામ તાજેતરમાં પૂર્ણ થયું છે, જેના કારણે આગામી દિવસોમાં શરૂઆતના તબક્કામાં માલગાડી દોડાવાશે. ખેડબ્રહ્માથી અંબાજી સુધીની સૂચિત 46 કિલોમીટરની રેલ્વે લાઇન માટે ₹236 કરોડનો ખર્ચ કરાશે. આ નવી રેલ્વે લાઇન માટે જરૂરી જમીન સંપાદન, વનસંબંધી મંજૂરી અને લોકઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રેલ્વે તંત્ર ઝડપથી કાર્યવાહી કરશે. રેલ્વે મંત્રીએ લોકસભામાં ખાતરી આપી હતી કે ખેડબ્રહ્માથી મોટા અંબાજી સુધી જમીન સંપાદન અને અન્ય જરૂરી સગવડો ઊભી કરવાનો નિર્ધારિત ખર્ચ વર્ષ 2025-26 સુધીમાં પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2025માં આ પ્રોજેક્ટ માટે અંદાજે ₹980 કરોડનો ખર્ચ નક્કી કરાયો હતો. જોકે, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વેના અધિકારીઓએ થોડા સમય અગાઉ ખેડબ્રહ્મા સહિત અન્ય સ્થળોએ આવેલી જમીનનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓના અહેવાલ બાદ રેલ્વે મંત્રીએ ₹236 કરોડના સુધારેલા ખર્ચનું બજેટ અંદાજ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:45 pm

શ્રી મધુસૂદન વિદ્યાપીઠમાં વાર્ષિક સ્પોર્ટ્સ મીટ યોજાઈ:વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો

શ્રી મધુસૂદન વિદ્યાપીઠમાં ૧, ૨ અને ૩ ડિસેમ્બરના રોજ વાર્ષિક સ્પોર્ટ્સ મીટ “આરોહણ : ધ રાઈઝ ઑફ ચેમ્પિયન્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ટ્રેક ઇવેન્ટ્સ, ફિલ્ડ ઇવેન્ટ્સ, ટીમ રમતો અને મનોરંજક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમણે રમતિયાળ ભાવના, શિસ્ત અને ટીમ સ્પિરિટનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી પ્રજેશસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટોર્ચ રન અને ક્લેપર દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભા, મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા સાચા ચેમ્પિયન બનવાનો અર્થ દર્શાવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસો પ્રશંસનીય છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:43 pm

1200 હોમગાર્ડ્ઝની વિશાળ મશાલ રેલી:હોમગાર્ડ્ઝ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રેલી યોજાઈ

અમદાવાદમાં હોમગાર્ડ્ઝ સ્થાપના દિવસની ઊજવણી નિમિત્તે નવરંગપુરા સ્થિત હોમગાર્ડ્ઝ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ મશાલ અને જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અમદાવાદના પશ્ચિમ, પૂર્વ અને ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૨૦૦ હોમગાર્ડ્ઝ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે દીવાન-બલ્લુભાઈ શાળાઓના ટ્રસ્ટી કૌશલ ઠાકોર, અમદાવાદ પૂર્વના હોમગાર્ડ કમાન્ડન્ટ કુમાર પટેલ, પશ્ચિમના કમાન્ડન્ટ સ્નેહલ પટેલ અને ગ્રામ્યના કમાન્ડન્ટ વિપુલ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ હોમગાર્ડ્ઝને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના નિષ્ઠાપૂર્વકના કાર્યોને બિરદાવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિશાળ મશાલ રેલીની આગેવાની લીધી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી સાબરમતીથી સરખેજ સુધીના વિસ્તારોને આવરી લેતી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:40 pm

'વાસદાના ધારાસભ્ય બુટલેગરો સાથે કનેક્શન ધરાવે છે':સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ, ભાજપના મહામંત્રીએ કહ્યું- પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા લોકોનું જ બુટલેગરો સાથે કનેક્શન

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં ચીખલીના સાદડવેલ ગામે દારૂબંધીમાં નિષ્ફળ રહેલી પોલીસના 'પટ્ટા ઉતારવા'નું નિવેદન આપીને ચર્ચામાં આવેલા અનંત પટેલ હવે કથિત રીતે એક બુટલેગર સાથેના 'સંબંધો' મુદ્દે ઘેરાયા છે. ધારાસભ્ય વિરુદ્ધ તેમની બુટલેગર સાથેની સાંઠગાંઠ દર્શાવતા પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પોસ્ટર અને કોલ રેકોર્ડથી આક્ષેપોવાયરલ થયેલા પોસ્ટરોમાં વાંસદા પોલીસે પકડેલા ભીનાર ગામના બુટલેગર અભિષેક ઉર્ફે અભલો સાથે અનંત પટેલના કથિત સંબંધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપોને સમર્થન આપતા એક કોલ રેકોર્ડ પણ વાયરલ થયું છે, જેમાં દાવો કરાયો છે કે ધારાસભ્ય અનંત પટેલે છેલ્લા એક મહિનાના સમયગાળામાં બુટલેગર અભિષેકને 29 વખત ફોન કર્યા હતા. આ ઉપરાંત, બુટલેગર અભિષેક દ્વારા ધારાસભ્ય અનંત પટેલની કાર સાથે પડાવેલો એક ફોટોગ્રાફ પણ વાયરલ થયો છે. 'ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા'વાંસદા ભાજપના મહામંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે. ડૉ. લોચન શાસ્ત્રીએ પણ ધારાસભ્ય પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પોલીસના પટ્ટા છોડાવવાની વાત કરનારા વ્યક્તિ જ બુટલેગર સાથે કનેક્શન ધરાવે છે. આ સમગ્ર મામલે વિપક્ષ ભાજપે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પાસે વાંસદાની જનતાને તાત્કાલિક જવાબ આપવાની માંગ કરી છે. 'ધારાસભ્યનું બુટલેગર સાથે કનેક્શન બહાર આવ્યું'આ મામલે વાંસદા ભાજપના મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રીએ જણાવ્યું કે, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગત સપ્તાહે એક નિવેદન જાહેર મંચ પરથી આપવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા દારૂવાળા કે જુગારવાળા પર કોઈ હપ્તો લેતા પકડાશે તો એમના પટ્ટા ઉતારતા વાર નહીં લાગે, પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક રીલ જોવા મળી. એમાં વાંસદાના ધારાસભ્ય દ્વારા એક નામચીન બુટલેગર જે વાંસદાના નામચીન બુટલેગરનું નામ છે. અભિષેક અથવા અબલો કે જેના કનેક્શન બહાર આવ્યું છે. તે છેલ્લા એક મહિનામાં વાંસદાના ધારાસભ્ય દ્વારા એમની જોડે 30 વખત વાતચીત કરવામાં આવી અને સોશિયલ મીડિયા પર એ બુટલેગરનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે કે જે એના ધારાસભ્યની કાર જોડે એની સેલ્ફી પણ જોવા મળી રહી છે. આમ વાંસદાના ધારાસભ્યનું ડોગલાપણું દેખાઈ રહ્યું છે. એમના ચાવવાના દાંત અલગ છે, બતાવવાના અલગ છે. એટલે આ કનેક્શન વિશે વાંસદાના ધારાસભ્યએ લોકોને જવાબ આપવો જોઈએ. અનંત પટેલનો સંપર્ક ન થઇ શક્યોઆ મામલે દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પાસે ખુલાસો માંગવા ફોન કર્યો ત્યારે તેમણે ફોન ઉપાડ્યો નહીં એટલે તેઓ આ બાબતે શું મંતવ્ય ધરાવે છે તે જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:40 pm

સાળંગપુર હનુમાનજીને 200 કિલો તલની સાની ધરાવાઈ:પૂનમ નિમિત્તે દાદાને ફૂલના વાઘા, ઓર્કિડ શણગાર અને ચાંદીનો મુગટ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પૂનમ નિમિત્તે વિશેષ શણગાર અને અન્નકૂટ યોજાયો હતો. ગુરુવાર, 4 ડિસેમ્બર, 2025ના રોજ દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા, ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 200 કિલો તલની સાની (કચરિયું) ધરાવવામાં આવી હતી. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજિત આ ઉત્સવમાં દાદાને રીયલ ડાયમંડ જડિત મયૂરાકારનો ચાંદીનો મુગટ અર્પણ કરાયો હતો. ઉપરાંત, એલચી અને શેવંતીના ફૂલોનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. મંદિરમાં સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે સવારે 7:00 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. અનેક હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પૂજારી સ્વામીએ શણગાર વિશે માહિતી આપતા જણાવ્યું કે, શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના વાઘા વૃંદાવનમાં 5 દિવસની મહેનતે 4 કારીગરો દ્વારા તૈયાર કરાયા હતા. સિંહાસનને ઓર્કિડ અને શેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જે વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર શણગાર તૈયાર કરવામાં 3 સંતો, ભક્તો અને પાર્ષદોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:38 pm

સુબીરમાં ગ્રામ રોજગાર સેવક પતિ સાથે લાંચ લેતા ઝડપાયા:મનરેગા યોજનામાં વહીવટી મંજૂરી માટે રૂ.32,800 માંગ્યા હતા

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. મહાત્મા ગાંધી મનરેગા યોજના સંબંધિત વહીવટી મંજૂરી માટે લાંચ માંગનાર ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન હેમંતભાઇ પટેલ અને તેમના પતિ હેમંતભાઇ વિનુભાઇ પટેલને રૂ.32,800ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ પોતાના ગામના ચાર અરજદારો માટે મનરેગા યોજના હેઠળ જમીન લેવલિંગ કામની ફાઇલ તૈયાર કરી હતી. આ ફાઇલને વહીવટી મંજૂરી આપવા માટે, ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન પટેલે દરેક અરજદાર પાસેથી રૂ.8,200 લેખે કુલ રૂ.32,800ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ACB ટીમે સુબીર તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ સામે આવેલી એક દુકાન પાસે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન, ફરિયાદી અનુસુયાબેનને મળ્યા હતા, જેમણે લાંચની રકમ તેમના પતિ હેમંતભાઇને આપવા જણાવ્યું હતું. હેમંતભાઇ પટેલે ફરિયાદી પાસેથી રૂ.32,800 સ્વીકારતા જ ACB ટીમે બંનેને પકડી પાડ્યા હતા. લાંચની સંપૂર્ણ રકમ સ્થળ પરથી જ જપ્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ટ્રેપ કામગીરી વલસાડ અને ડાંગ ACBના પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. ગામીતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક – ACB સુરત એકમના આર. આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. ACBની આ કાર્યવાહી મનરેગા યોજનામાં પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાનો સંદેશ આપે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:36 pm

મહેસાણામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી:દિવ્યાંગજનોના અધિકારો માટે જાગૃતિ રેલી યોજાઈ

મહેસાણા શહેરમાં વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગજનો અંગે જાગૃતિ ફેલાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, સિનિયર સિવિલ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આઈ.કે. જાંગર, તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાના હસ્તે રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલના વિદ્યાર્થીઓ, સક્ષમ મહેસાણા ડી.એ.જી. ગ્રુપના સભ્યો, સમગ્ર શિક્ષા મહેસાણાના બાળકો અને સ્પેશિયલ એજ્યુકેટરો જોડાયા હતા. આ ઉપરાંત, સ્વયંસેવકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમાજના નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. “સમાનતા – સન્માન – સશક્તિકરણ” જેવા નારા સાથે દિવ્યાંગજનોના અધિકારો, સુવિધાઓ અને સમાવેશ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. સિનિયર સિવિલ જજ આઈ.કે. જાંગરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સામાજિક પુનર્વસન માટે સરકાર અને સમાજ બંનેની સંવેદનશીલ જવાબદારી છે. તેમણે ઉમેર્યું હતું કે આવા કાર્યક્રમો સમાવેશી સમાજની રચના માટે મહત્વપૂર્ણ પગલું છે. રેલી મહેસાણા શહેરની કલેક્ટર કચેરીથી શરૂ થઈને બસ ડેપો, રાજમહેલ રોડ, ફુવારા અને ટી.જે. હાઈસ્કૂલના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ રેલી જાહેર જનતા સમક્ષ જાગૃતિ સંદેશો પહોંચાડતી અંતે માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર આયોજનમાં સમાજ સુરક્ષા વિભાગ, પોલીસ વિભાગ, સ્થાનિક સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. વિશ્વ દિવ્યાંગ દિવસની આ ઉજવણીમાં ભાગ લેનાર તમામ દિવ્યાંગજનો, બાળકો, સંસ્થાના પ્રતિનિધિઓ, વાલીઓ અને શિક્ષકોએ ભોજન લીધું હતું, અને કાર્યક્રમનું સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:35 pm

રાયગઢના યુવાનો 150 અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરશે:અસ્થિ બેંક દ્વારા આજે પેકિંગ કરાયું, આવતીકાલે રવાના

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામના યુવાનો આવતીકાલે હરિદ્વારમાં ગંગા નદીમાં 150 થી વધુ અસ્થિઓનું વિસર્જન કરશે. આ માટે આજે યુવાનો દ્વારા અસ્થિઓનું પેકિંગ કરવામાં આવ્યું હતું. રાયગઢમાં છેલ્લા ચાર વર્ષથી યુવાનો દ્વારા અસ્થિ બેંક ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ બેંક દ્વારા 188 અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ સેવા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. આ અંગે રાયગઢના અર્પિત શુક્લાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અસ્થિઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી એકત્રિત કરવામાં આવે છે. ગ્રામજનો પણ સ્વયંભૂ રીતે અસ્થિઓ જમા કરાવે છે. આ 150 થી વધુ અસ્થિઓમાં રાયગઢ અસ્થિ બેંક અને હિંમતનગર સ્મશાનની બિનવારસી અસ્થિઓનો પણ સમાવેશ થાય છે. યુવાનો દ્વારા આ અસ્થિઓના કર્મકાંડનું કાર્ય પણ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:32 pm

ડૉ. ચંદ્રમૌલી જોષીનું પાટણમાં વ્યાખ્યાન:શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં ગણિત એટલે મજા વિષય પર પ્રેરણાદાયક સત્ર

પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં ગણિત એટલે તો મજાજ મજા વિષય પર એક પ્રેરણાદાયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય ચેરમેન અને પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. ચંદ્રમૌલી જોષીએ આ વ્યાખ્યાન આપ્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળામાં બે પ્રતિભાશાળી ગણિતજ્ઞો સ્વ. મુકુંદભાઈ પટેલ અને સ્વ. હિરાભાઈ પટેલની સ્મૃતિમાં આ વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે મહેમાન ડૉ. જોષી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ગજેન્દ્રભાઈ રાવલનું શાબ્દિક સ્વાગત કર્યું. તેમણે મહેમાનોની કારકિર્દી અને સમાજકાર્યનો પરિચય આપ્યો. ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક, ખેસ અને મોમેન્ટો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ રામાનુજન મેથ્સ ક્લબની સ્થાપના, તેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યો, તેમજ ગણિત પ્રત્યે જાગૃતિ લાવવામાં તેના યોગદાન વિશે માહિતી આપી. ડૉ. ચંદ્રમૌલી જોષીએ સ્વ. મુકુંદભાઈ અને સ્વ. હિરાભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે પાટણ જિલ્લો ગણિતનું મોસાળ છે અને અહીંના વિદ્યાર્થીઓ ગણિતને ઉત્સવની જેમ માણે છે. તેમણે ગણિત એટલે તો મજાજ મજા વિષય પર બે કલાકનું જીવંત અને ઇન્ટરેક્ટિવ વ્યાખ્યાન આપ્યું. આ વ્યાખ્યાનમાં સમાંતર શ્રેણી, જાદુઈ ચોરસ, ઝડપી ગણતરી, રમૂજી પ્રયોગો અને રસપ્રદ ઉદાહરણો દ્વારા ગણિતને આનંદમય બનાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વ્યાખ્યાનમાં સક્રિયપણે ભાગ લીધો, પ્રશ્નો પૂછ્યા અને પોતાની ગણિત પ્રતિભા દર્શાવી. ડૉ. જોષીએ ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ બાળક ગણિતમાં પાછળ નથી; માત્ર સમજાવવાની રીત બદલાય તો પરિણામ પણ બદલાઈ જાય છે. ડૉ. જોષીએ ખીજડીયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલા ગોલ્ડ મેડલ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતનો પ્રસંગ રજૂ કર્યો. આ પ્રસંગે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં નવી પ્રેરણા ભરી કે ગામડાની શાળાઓ પણ વૈશ્વિક મંચ પર તેજસ્વી બની શકે છે. કાર્યક્રમનું સંચાલન ડૉ. અલ્પેશભાઈ પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ સુપરવાઇઝર કપૂરજી ઠાકોરે વ્યક્ત કરી હતી. શેઠ એમ.એન. હાઈસ્કૂલનો આ પ્રેરણાદાયક કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે નવી ઊર્જા, નવી દૃષ્ટિ અને આત્મવિશ્વાસ જગાવવામાં સફળ રહ્યો. આ દિવસ શાળાની શૈક્ષણિક સફરના એક યાદગાર અધ્યાય તરીકે નોંધાયો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:31 pm

થલતેજની વિદ્યાર્થિનીએ ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યો:હરિયાણામાં યોજાયેલી 'છઠ્ઠી તાઈ ઓ કઈ' સ્પર્ધામાં આરવી પ્રજાપતિનો ત્રીજો નંબર

હરિયાણા ખાતે યોજાયેલી છઠ્ઠી તાઈ ઓ કઈ 2025 ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં થલતેજની પ્રેરણા વિદ્યામંદિરની ધોરણ 8ની વિદ્યાર્થીની આરવી હિતેશભાઈ પ્રજાપતિએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ચેમ્પિયનશીપનું આયોજન 28, 29 અને 30 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આરવી પ્રજાપતિએ આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈને પોતાની શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:28 pm

નવજીવન ટ્રસ્ટમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી:મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચિત્ર હરીફાઈ યોજાઈ

વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોમાં રહેલી કલાત્મક ક્ષમતાઓને બહાર લાવવાનો હતો. દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાના 85 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને બે વિભાગમાં વહેંચીને તત્કાલ ચિત્ર હરીફાઈ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સંગીત નાટક અકાદમીના અધિકારી શ્રીમતી મિનલબેન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ થીમ પર આધારિત સુંદર ચિત્રો દોર્યા હતા. હરીફાઈના દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ પાંચ ચિત્રોને ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે ભાગ લેનાર દરેક બાળકને આર્ટ કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પહેલથી મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓની સુષુપ્ત કલાને પ્રોત્સાહન મળ્યું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:26 pm

પ્રજ્ઞાચક્ષુ દીકરીએ ગીતાના 18 અધ્યાય કંઠસ્થ કર્યા:ગીતા જયંતીએ જિલ્લા કક્ષાએ સન્માનિત કરાઈ, છાત્રાલયનું ગૌરવ વધાર્યું

જૂનાગઢમાં ગીતા જયંતી નિમિત્તે ૧લી ડિસેમ્બરે પ્રજ્ઞાચક્ષુ કરમુર મંજુને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવી. તેણે ગીતાના ૧૮ અધ્યાય કંઠસ્થ કરીને અંધ કન્યા છાત્રાલયનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમ જૂનાગઢ અને ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના સહયોગથી જ્ઞાનબાગ ગુરુકુળના હોલમાં યોજાયો હતો. જેમાં ગીતા જયંતી પ્રેમી ૮૨ બાળકો, શિક્ષકો અને દિવ્યાંગોને સન્માનિત કરાયા હતા. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની લાભાર્થી અને મા-બાપ વિહોણી કરમુર મંજુએ સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કર્યા છે. આ સિદ્ધિ બદલ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા તેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ મેઘનાથીએ મંજુને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સંસ્કૃત ભાષામાં ગીતાજીના શ્લોકો વાંચીને કંઠસ્થ કરવા એ સામાન્ય વ્યક્તિ માટે પણ પડકારરૂપ છે, ત્યારે દૃષ્ટિહીન હોવા છતાં મંજુએ આ સિદ્ધિ મેળવી છે તે પ્રશંસનીય છે. અગાઉ પણ કરમુર મંજુએ રાજ્યકક્ષાની સંસ્કૃત શ્લોક સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓ અને અન્ય લાભાર્થી દીકરીઓએ તેને વિશેષ અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:24 pm

હિંમતનગરથી રૂપાલ 34મી પદયાત્રા સંપન્ન:ઝાંઝરી માતાજી મંદિરે ધજા ચઢાવાઈ, મહાપ્રસાદ વિતરણ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી રૂપાલ સ્થિત ઝાંઝરી માતાજીના મંદિરે સતત 34મી પદયાત્રા સંપન્ન થઈ છે. માગશર સુદ પૂનમના દિવસે આ યાત્રાસંઘ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં ભક્તો દ્વારા મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી. ગુરુવારે માગશર સુદ પૂનમના રોજ હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પદયાત્રામાં બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભક્તો પાંચ ધજાઓ સાથે હિંમતનગરથી કાંકરોલ, આગિયોલ, મનોરપુર અને રૂપાલકમ્પા થઈને રૂપાલ ગામ સ્થિત ઝાંઝરી માતાજીના મંદિરે પહોંચ્યા હતા. મંદિરે પહોંચતા યાત્રાસંઘનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ મંદિરના શિખર પર ધજા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીની રાજભોગ આરતી કરવામાં આવી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે પૂનમની ઉજવણી સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:04 pm

ગોધરા ST ડેપોમાં ડ્રાઈવરો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ:રોડ વચ્ચે બસ ઊભી ન રાખવા સૂચના અપાઈ

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ગોધરા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે પોલીસ અને એસ.ટી. વિભાગ દ્વારા 4 ડિસેમ્બર, 2025 ના રોજ બસ ડ્રાઈવરો માટે 'ટ્રાફિક અવેરનેસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડી.એન. પરમાર, ગોધરા સીટી ટ્રાફિક પીએસઆઈ એમ.પી. ચૌહાણ અને ગોધરા ડેપો મેનેજર એમ.એચ. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અધિકારીઓએ એસ.ટી. બસના ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ તકે અધિકારીઓએ ડ્રાઈવરોને તાકીદ કરી હતી કે, રોડ પર જ્યાં નિયત બસ સ્ટેન્ડ કે સ્ટોપ ન હોય ત્યાં બસ ઊભી રાખવી નહીં. રસ્તા વચ્ચે બસ ઊભી રાખવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતો નિવારી શકાય તે હેતુથી તમામ ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:53 pm

6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા:પીડિતાના પરિવારને 17 લાખનું વળતર ચૂકવવા આદેશ, દોઢ વર્ષ ચાલેલી સુનાવણી બાદ વલસાડ કોર્ટે ચુકાદો સંભળાવ્યો

6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં દોઢ વર્ષ ચાલેલી સુનાવણી બાદ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. ઘટના ઓક્ટોબર 2023ના રોજ બની હતી, જ્યારે આરોપીએ 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને એકાંત જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેણે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ બાળકીની હત્યા કરી હતી. આ ગંભીર ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે માત્ર 48 કલાકની અંદર આરોપીને ઝડપી પાડ્યો હતો. રાતના અંધારામાં જંગલ વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ શોધવો પડકારજનક હતો, પરંતુ તાત્કાલિન એસપી કરણરાજ વાઘેલા અને અન્ય અધિકારીઓએ જાતે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે ખૂબ જ ઝડપી તપાસ કરીને માત્ર 19 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી, જેના આધારે કેસની સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે આરોપીને કલમ 376 (દુષ્કર્મ), 302 (હત્યા), 376AB (12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર દુષ્કર્મ), 376A (દુષ્કર્મ બાદ મૃત્યુ) અને POCSO એક્ટ હેઠળ ફાંસીની સજા સંભળાવી છે. આ ઉપરાંત, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય (કલમ 377) માટે 10 વર્ષની સજા અને અપહરણના ગુનામાં 7 વર્ષની સજા તથા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને 'વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ' હેઠળ 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:50 pm

સુભાષ બ્રિજના મધ્ય ભાગે તિરાડ, AMCએ બંધ કર્યો:બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તિરાડને લઈને તપાસ શરૂ, પીક અવર્સમાં બંધ થતાં ભારે ટ્રાફિક જામ

અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને બંધ કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઇપણ જાણ કર્યા વિના અચાનક જ સાંજે પીક અવર્સના સમય દરમિયાન બ્રિજ બંધ કરી દેતા લોકોને પાછા ફરવું પડ્યું હતું. જેના કારણે નારણઘાટ અને સુભાષબ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ટ્રાફિક પોલીસને રોડ પર ઉતરવું પડ્યું હતું અને ટ્રાફિક મેનેજ કરવું ભારે પડી રહ્યો છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડતા AMC દોડતું થયુંસુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં તિરાડ હોવાનું સામે આવતા AMC દ્વારા સાંજે છ વાગ્યે તાત્કાલિક અસરથી બ્રિજ વાહનચાલકો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બ્રિજ પર તિરાડને લઈને તપાસ કરવામાં આવી રહી છે. બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:38 pm

ગઢડામાં ફૂડ સેફ્ટી ડ્રાઇવમાં 34 દુકાનોની તપાસ:મામલતદાર-પાલિકા ટીમે દંડ વસૂલ્યો, સેમ્પલ લીધા; ગેસ બોટલ સીઝ કરી

ગઢડા શહેરમાં ફૂડ સેફ્ટી માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર, નગરપાલિકા અને ઔષધ નિયમન તંત્રની ટીમે 34 ખાણી-પીણી એકમોની તપાસ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન હાઈસ્કૂલ ચાર રસ્તા, બોટાદ ઝાંપા, જુના મંદિર રોડ, બી.એ.પી.એસ. મંદિર રોડ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી. સફાઈ અને પ્લાસ્ટિકના નિયમોના ભંગ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ.5000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટીમે ફરસાણની પાંચ અલગ અલગ દુકાનોમાંથી કુલ 16 સેમ્પલ લીધા હતા, જે પૃથક્કરણ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત, શ્રી હરિ ફાસ્ટફૂડમાંથી ઘરેલુ ગેસની બે બોટલ મળી આવતા તેને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, નગરપાલિકા ચીફ ઓફિસર, સેફ્ટી ઓફિસર, ઔષધ નિયમન તંત્ર બોટાદ અને નાયબ મામલતદાર પુરવઠા સહિતના અધિકારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:38 pm

છોટા ઉદેપુરમાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:પીએમશ્રી તાલુકા શાળા નં.1 ખાતે 200 બાળકોએ 95 કૃતિઓ રજૂ કરી

છોટા ઉદેપુરની પીએમશ્રી તાલુકા શાળા નંબર એક ખાતે તાજેતરમાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર માર્ગદર્શિત, તાલુકા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર અને બીઆરસી ભવન છોટાઉદેપુર દ્વારા આ ૧૧મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૪ થી ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાયું હતું. આ પ્રદર્શન બી.આર.સી. ભવન છોટાઉદેપુર દ્વારા આયોજિત કરાયું હતું. તેનો મુખ્ય વિષય 'વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ' રાખવામાં આવ્યો હતો. જેમાં ૨૦૦ જેટલા બાળકો દ્વારા મુખ્ય પાંચ વિભાગમાં ૯૫ વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. મુખ્ય વિષય હેઠળ પાંચ પેટા વિભાગોનો સમાવેશ કરાયો હતો, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઊર્જા, વિકસિત નવીન ટેકનોલોજી, મનોરંજક ગાણિતિક મોડેલિંગ, આરોગ્ય સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. ઉપસ્થિત તમામ મહાનુભવોએ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત કરાયેલી કૃતિઓની મુલાકાત લીધી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:35 pm

છોટા ઉદેપુર LCBએ નસવાડી પાસે દારૂ ઝડપ્યો:₹4.30 લાખનો વિદેશી દારૂ, બે આરોપીની ધરપકડ

છોટા ઉદેપુર જિલ્લા LCBએ નસવાડી નજીકથી ₹4.30 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે વાહનો જપ્ત કરાયા છે.પોલીસે ₹4,30,102/-ની કિંમતની 1826 બોટલ વિદેશી દારૂ, એક બોલેરો પીકઅપ ગાડી અને એક ઈકો ગાડી જપ્ત કરી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા LCBએ આવા જ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.LCBની ટીમ નસવાડી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે એક બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ દારૂ કવાંટ, ભાખા, નસવાડી થઈને ડભોઈ તરફ જવાનો હતો અને તેનું પાયલોટિંગ એક ઈકો કાર કરી રહી હતી. બાતમીના આધારે LCBની ટીમે વાડિયા પાસે વોચ ગોઠવી હતી. GJ 34 H 2877 નંબરની ઈકો કાર અને તેની પાછળ આવતી GJ 34 T 2066 નંબરની બોલેરો પીકઅપ ગાડી આવતા, ઈકો કારને રોકવામાં આવી હતી. જોકે, બોલેરો ગાડીના ચાલકે વાહન ઊભું રાખવાનો ઈશારો કરતા ગાડી ભગાવી હતી અને આગળ જઈ ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. LCB ટીમે બોલેરો ગાડીમાં સવાર નયનભાઈ લક્ષ્મણભાઈ તડવી (રહે. નવી વસાહત, સીમલિયા, તા. ડભોઈ, જિ. વડોદરા) અને પાયલોટિંગ કરી રહેલી ઈકો કારના ચાલક વિરેન્દ્રસિંહ બચ્છુસિંહ ડાવર (રહે. હોળી ફળિયા, કટવાડ, તા. સોંઢવા, જિ. અલીરાજપુર)ની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:29 pm

સુરેન્દ્રનગર LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આરોપીનો આપઘાત:બારીએ શર્ટ બાધી જીવન ટુંકાવ્યું, બાઇક ચોરીના ગુનામાં બે દિવસ અગાઉ પોલીસે ધરપકડ કરી હતી

સુરેન્દ્રનગર LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના એક યુવાનની બાઇક ચોરીના ગુનામાં પોલીસે બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જેણે આજે વહેલી સવારે LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બારીએ શર્ટ બાધી જીવન ટુંકાવ્યુંઆ ઘટના અંગે મળતી માહિતી મુજબ ઝીંઝુવાડા ગામના 24 વર્ષીય ગજેન્દ્રસિંહ વિનુભા ઝાલા નામના આરોપીની બે દિવસ અગાઉ સુરેન્દ્રનગર LCBએ ધરપકડ કરી હતી. આજે LCB કચેરીમાં બારીએ પોતાના શર્ટ વડે ગળેફાંસો ખાઈ ગજેન્દ્રસિંહે આત્મહત્યા કરી લીધી હતી. મૃતદેહને પેનલ પી.એમ માટે રાજકોટ ખસેડાયોઆ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતા મૃતક યુવાનના પરિવારજનો સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમણે ગજેન્દ્રસિંહની લાશ સ્વીકારવાનો ઇનકારકરતા મૃતદેહને રાજકોટ પેનલ પીએમ માટે લઇ જવામાં આવ્યો છે. આ કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે ચકચાર વ્યાપી છે. 'આરોપીએ વધુ આઠ બાઈક ચોરીની કબૂલાત આપી હતી'આ અંગે સુરેન્દ્રનગર DySP વી.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, ઝીંઝુવાડાના ગજેન્દ્રસિંહ ઝાલાને સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફ ચોરેલા એક બાઈક સાથે વધુ પુછપરછ માટે સુરેન્દ્રનગર એલસીબી કચેરીએ લાવી હતી. જેમાં આરોપીએ વધુ આઠ બાઈક ચોરીની કબૂલાત આપી હતી. જેમાં એ અંગેની વધુ પુછપરછ ચાલી રહી હતી, ત્યારે આ યુવાને એલસીબી કચેરીમાં ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.હાલ એની અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:25 pm

બોટાદમાં હાઈસ્કૂલ પાસે બસ સ્ટેન્ડનો વિરોધ:ટ્રાફિક, અકસ્માતની શક્યતાને લઈ રાષ્ટ્રીય પછાત એકતા મંચે રજૂઆત કરી

બોટાદ શહેરમાં હાઈસ્કૂલ નજીક નિર્માણાધીન બસ સ્ટેન્ડનો રાષ્ટ્રીય પછાત એકતા મંચ અને સ્થાનિક નગરજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધકર્તાઓનું કહેવું છે કે આ બસ સ્ટેન્ડ જાહેર માર્ગ પર દબાણ કરીને ટ્રાફિક અને અકસ્માતનું જોખમ વધારશે. નગરપાલિકા દ્વારા હાઈસ્કૂલની બાજુમાં આવેલા મુખ્ય માર્ગ, રેલવે સ્ટેશન ટાવર રોડથી સાળંગપુર રોડ પર આ બસ સ્ટેન્ડનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિર્માણથી જાહેર રસ્તા પર દબાણ થશે તેવી વિરોધકર્તાઓની દલીલ છે. બોટાદ નજીક સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર આવેલું છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા-જતા હોય છે. આવા વ્યસ્ત માર્ગ પર બસ સ્ટેન્ડ બનવાથી ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનશે અને મોટા અકસ્માતો સર્જાવાની શક્યતા છે. મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ નિર્માણથી 15+40 ફૂટના રોડ પર દબાણ થઈ રહ્યું છે. આના પરિણામે પોલીસ તંત્રને પણ ટ્રાફિક વ્યવસ્થાપનમાં નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી, દિલીપભાઈ મારાજ અને તેમના સાથી મિત્રો સહિત બોટાદના નગરજનોએ આ બસ સ્ટેન્ડનું નિર્માણ ન કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:24 pm

શહેરમાં 16 સ્થળોએ બાઇક રેલી નીકળી:BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વડોદરાના માર્ગો પર બાઈક રેલીઓએ આકર્ષણ જમાવ્યું, મોટી સંખ્યામાં યુવક યુવતીઓ જોડાયા

BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી પહેલા આજે વડોદરા શહેરના રાજમાર્ગો પર BAPS સંસ્થા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીએ વડોદરા શહેરના રસ્તાઓ પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરમાં 16 સ્થળોએ બાઇક રેલીઓ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો. BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી 60 દિવસ બાદ ભવ્યતા અને દિવ્યતા પૂર્વક વડોદરા ખાતે ઉજવાનાર છે,.જેને લઈને આજે સાંજે BAPS સંસ્થાના યુવક યુવતીઓએ સમગ્ર શહેરમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ અલગ અલગ 16 વિસ્તારોમાં એકસાથે દ્વિચક્રીય વાહનોની યાત્રા કાઢી હતી. શિસ્તબદ્ધ, સમાન ગણવેશધારી યુવા યુવતીઓ દ્વિચક્રીય વાહનો પર સવાર હતા સાથે કલાત્મક સુશોભિત રથમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે મહંત સ્વામી મહારાજની ચિત્ર પ્રતિમાઓ ઉપરાંત સંગીતની સુરાવલી સાથેનો રથ પણ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સંતોએ એકસાથે 16 યાત્રાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને પાંચ કિલોમીટર બાદ યાત્રા તેના સ્થાન પર પહોંચી હતી. અટલાદરા BAPS સ્વામી નારાયણ મંદિરના સંત વિવેકનિષ્ઠ સ્વામીએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેર પર અક્ષર પુરુષોતમ મહારાજની દ્રષ્ટિ પડે અને સાથે મહંત સ્વામી મહારાજનો વિશ્વ શાંતિનો સંદેશ બધા લોકો સુધી પહોંચે તે હેતુથી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો લાભ લેવા માટે પધારવા માટે આપ સૌને પણ વિનંતી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:19 pm

80 કિલો નકલી પનીર અને 168 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો:બે સ્થળે SOG અને પાલિકાના દરોડા, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે લાલ આંખ

સ્વાદના શોખીન સુરતીઓ માટે ફરી એક વખત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને આરોગતા હોવ, તો ચેતી જવાની જરૂર છે. સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલ આંખ કરી છે. એક જ દિવસમાં શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને ભેળસેળયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલાં જ ઝડપી પાડ્યો છે. ઉધનામાં 'શ્રીજી પ્રોવીઝન સ્ટોર'થી શંકાસ્પદ 'એનાલોગ પનીર' મળ્યુંસુરત S.O.G. ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી જે.એમ. દેસાઈ અને ટી.એસ. પટેલને સાથે રાખીને ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઉધના ગામ, પટેલ કોલોનીમાં આવેલી જ્યોતિનગર સોસાયટીમાં શ્રીજી પ્રોવીઝન સ્ટોર (દુકાન નં. 01)માં તપાસ હાથ ધરવામાં આવી હતી. 80 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યોઅહીં દુકાનના સંચાલક નવલકિશોર મોતીરામ ગર્ગની હાજરીમાં તપાસ કરતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. દુકાનમાંથી 70 કિલો શંકાસ્પદ મલાઈ પનીર (કિંમત રૂ. 24,500) અને 10 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર (કિંમત રૂ. 2400) મળી આવ્યું હતું. એનાલોગ પનીર એ દૂધની ચરબીને બદલે વનસ્પતિ તેલ જેવા સસ્તા વિકલ્પોમાંથી બનાવવામાં આવતું નકલી પનીર છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આમ, કુલ 80 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો, જેની કુલ કિંમત રૂ. 26,900 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. પુણા-મગોબના ફ્લેટમાંથી 168 કિલો શંકાસ્પદ માવો ઝડપાયોપનીર ઉપરાંત મીઠાઈમાં વપરાતા માવામાં પણ મોટી ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. S.O.G. ની ટીમને મળેલી અન્ય એક બાતમીના આધારે, પાલિકાના ફૂડ ઓફિસર ડી.ડી. ઠાકોર સાથે પુણા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. મગોબ ખાતે આવેલી પ્રિયંકા સીટીના બિલ્ડીંગ નં-જી-1, ફ્લેટ નં. 23માં રહેણાંક વિસ્તારમાં ધમધમતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ફ્લેટ માલિક હનુમાન લાધુરામ બિશ્નોઈના ઘરે તપાસ કરતા ત્યાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતો 168 કિલોગ્રામ જેટલો જંગી શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. આ માવાની કુલ કિંમત રૂ. 34,953 આંકવામાં આવી છે. તહેવારો કે સામાન્ય દિવસોમાં મીઠાઈની માગ વધે ત્યારે આવા શંકાસ્પદ માવા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાની આશંકા છે. પદાર્થો ભેળસેળયુક્ત સાબિત થશે તો કાયદાકીય પગલાં લેવાશેઆ બંને દરોડામાં કુલ મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શંકાસ્પદ મલાઈ પનીર, એનાલોગ પનીર અને શંકાસ્પદ માવાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે. આ ખાદ્યપદાર્થો ખરેખર કેટલા હાનિકારક છે અને તેમાં કઈ વસ્તુઓની ભેળસેળ છે, તે જાણવા માટે તમામ નમૂનાઓ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પદાર્થો અખાદ્ય કે ભેળસેળયુક્ત સાબિત થશે, તો દુકાનદારો અને વિક્રેતાઓ સામે કાયદાકીય રાહે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. સુરત પોલીસ અને પાલિકાની આ કામગીરીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ખાદ્યપદાર્થો ખરીદતી વખતે ગુણવત્તાની ખાસ ચકાસણી કરે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:18 pm

સુરતમાં રખડતા શ્વાને હુમલો કરતા 4 વર્ષની બાળકી લોહીલુહાણ:ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ, શરીર પર 10 વધુ જગ્યાએ બચકાં ભર્યા

સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલ ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી, જ્યાં ચાર વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો હતો. ઘર નજીક બાળકી રમી રહી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે ચાર વર્ષની બાળકી તેના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન, અચાનક એક રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને પકડી પાડી હતી અને તેના માથા, કાન, ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર આડેધડ બચકા ભર્યા હતા. બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી હતી. બાળકીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈઆ હુમલામાં બાળકીને શરીર પર 10થી વધુ ગંભીર ઈજાના નિશાન થયા હતા. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ, બાળકીની પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કરવામાં આવી હતી, ત્યારબાદ તેને વધુ સારવાર અને ઈજાઓના નિદાન માટે સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે. બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના પર શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે. આર્થિક રીતે નબળા પરિવાર પર આભ ફાટી પડ્યુંપીડિત બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ (યુપી)નો છે અને હાલમાં સુરતના વરીયાવી બજાર ધાસ્તીપુરા ખાતેના ગુલશન પાર્કમાં રહે છે. બાળકીના પિતા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા-પિતા અને બાળકી સહિત અન્ય ત્રણ બહેનો છે. પિતાની મર્યાદિત આવક વચ્ચે બાળકી પર થયેલા આ જીવલેણ હુમલાથી પરિવાર પર આભ ફાટી પડ્યં છે અને તેઓ ચિંતાતુર બન્યા છે. મહાનગરપાલિકાની કામગીરી પર સવાલઆ વિસ્તારમાં શ્વાનના હુમલાની આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે, વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમની નસબંધીની કાર્યવાહી કે અન્ય કોઈ નિયંત્રણની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા અસરકારક રીતે કરવામાં આવતી નથી. લોકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:05 pm

SVP ઍરપોર્ટના કાઉન્ટર પર પેસેન્જરોની લાઈનો:3 ફ્લાઇટ્સ રદ અને 12 મોડી, મેવાણીએ ફરી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી, બિનજરૂરી હોર્ન વગાડશો તો હવે દંડ ભરવો પડશે

અમદાવાદ એરપોર્ટ પર 3 ફ્લાઇટ્સ રદ,12 મોડી પડી અમદાવાદ એરપોર્ટ પર આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ જ્યારે 12 ફ્લાઇટ્સ મોડી પડી છે. તો અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી. જેના કારણે કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈનો લાગી.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાત હાઈકોર્ટને ફરી ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો ગુજરાત હાઈકોર્ટને ફરી ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો. બોમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી મળતા બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો દોડતી થઈ હતી. જો કે, ગુજરાત હાઇકોર્ટનું કામ રાબેતા મુજબ જ યથાવત છે.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મોહમ્મદ નામના વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે.આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે. જો કે, તપાસ બાદ ફ્લાઇટને રવાના કરાઈ છે. ફ્લાઈટમાં 40 મુસાફરોનું નામ મોહમ્મદ હતું.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ISIS સાથે સંકળાયેલા બે જાસૂસની ધરપકડ ગુજરાત ATSએ ISIS સાથે સંકળાયેલા બે જાસૂસની ધરપકડ કરી.ગોવાથી રશ્મિન રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતાં અને ISIS માટે કામ કરતા હતા.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો તાકાત હોય તો આવો પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાય: મેવાણી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં અમદાવાદમાં NSUIની બાઇકરેલી યોજાઈ. જેમાં જીગ્નેશ મેવાણીને હર્ષ સંઘવીને ચેલેન્જ આપતા કહ્યું,તાકાત હોય તો આવો પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાય. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હવે બિનજરૂરી હોર્ન વગાડ્યો તો દંડ ભરવો પડશે બિનજરૂરી અને સતત હોર્ન વગાડતા વહાનચાલકો વિરૂદ્ધ સુરત ટ્રાફિક-પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. હવે બિનજરૂરી હોર્ન વગાડનારને 500થી લઈને 1,000 સુધીનો દંડ ભરવો પડી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગોંડલના અનિડા ગામે જીગીશા પટેલનો ભારે વિરોધ આપ નેતા જીગીશા પટેલને ગોંડલના અનિડા ગામે ભારે વિરોધનો સામન કરવો પડ્યો.એક સ્થાનિકે કહ્યું કે, ડુંગળીના ભાવ 500 રૂપિયા થાય તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય પણ, 500નો તો તમે મેકઅપ કરીને આવો છો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મિલમાં મજૂરનો હાથ ખભાથી અલગ થઈ ગયો સુરતમાં કડોદરાની ‘પ્રભાકર’ મિલમાં એક મજૂરનો હાથ ખભાથી અલગ થઈ ગયો. મજૂરનો ડાબો હાથ સાડીના છેડામાં ફસાઈ ગયો હતો. જે બાદ મશીનના પાવરફુલ ખેંચાણને કારણે આખો હાથ ધડથી અલગ થઈ ગયો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો લાલો ફિલ્મનાં કલાકારો,પ્રોડ્યુસર, ડાયરેક્ટરને પોલીસનું તેડું રાજકોટનાં ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી મામલે મોલના મેનેજર બાદ હવે લાલો ફિલ્મનાં કલાકારો,પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસે તેડું મોકલ્યું છે. જો સંતોષકારક નિવેદન નહીં આપે તો ફરિયાદ થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આવતીકાલથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થશે અમદાવાદમાં આવતીકાલથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થશે.6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12 હોટસ્પોટ ઝોન બનાવાયા છે.ખરીદી પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ સ્થળ પર જવા માટે AMTS-BRTSની નિઃશુલ્ક સુવિધા પણ મળશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:05 pm

હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે રાજદીપ ગોહિલ ઝડપાયો:422 ગ્રામ ગાંજાના જથ્થા સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત, સ્નેપચેટ એપ્લિકેશનથી ગાંજો મંગાવી છૂટકમાં વેચતો

અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શાસ્ત્રીનગર બ્રિજ પાસેથી હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરનાર રાજદીપ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી રાજદીપ ગોહિલ પાસેથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો સહિત 14 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા આરોપી સ્નેપચેટ એપ્લિકેશનથી હાઈબ્રિડ ગાંજો મંગાવી છૂટકમાં વેચતો હોવાનું સામે આવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજદીપ ગોહિલની વધુ પૂછપરછ હાથ ધરી છે. સાયરબ ક્રાઈમે શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના ફ્લેટમાં દરોડા પાડ્યાનારણપુરામાં શાસ્ત્રીનગર બ્રિજ પાસે એક ફ્લેટમાં ગાંજાનો વેપાર ચાલતો હોવાની સાયબર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. સાયબર ક્રાઈમ બ્રાંચના હાર્દિક માંકડીયા અને ઇન્સ્પેક્ટર બી.પી. પટેલની ટીમને માહિતી મળી હતી. જેથી બાતમીના આધારે શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન ફ્લેટ પરથી શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો હતો. તેમજ એક બે શંકાસ્પદ હાલતમાં પડ્યું હતું. જેની તપાસ હાઈબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. 422 ગ્રામ હાઈબ્રિડ ગાંજાના જથ્થો સાથે રાજદીપ ગોહિલની ધરપકડસાયબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન 422 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો સહિત 14.84 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન આરોપીની નામ રાજદીપ ભરતસિંહ ગોહિલ હોવાની સામે આવ્યું હતું. તેમજ આરોપી રાજદીપ ગોહિલે સ્નેપચેટ એપ્લિકેશનના માધ્યમથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવતો અને તે ગાંજાનો જથ્થો છૂટકમાં ગ્રાહકોને વેચતો હોવાની કબુલાત કરી છે. તેમજ ગાંજાના જથ્થાના નાણા આંગડિયા મારફતે ચૂકવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજદીપ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 6:02 pm

ભરૂચ ભીડભંજનમાં કોઠા–પાપડીનો મેળો:હિન્દુ- મુસ્લિમ સમાજનું કોમી એકતાનું જીવંત પ્રતીક, ભક્તોએ દરગાહ અને મંદિરે ઢેબરા, ચણા અને ફૂલ અર્પણ કર્યા

ભરૂચના મહાત્મા ગાંધી રોડ સ્થિત ભીડભંજન વિસ્તારમાં માગશર માસના દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા–પાપડીના મેળાની શરૂઆત થઈ ગઈ છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ હજારો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. અહીં સ્થિત સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે આવેલું ભીડભંજન હનુમાન મંદિર, બંને સ્થળો પર ભક્તો પ્રાર્થના કરીને મનોઇચ્છા પુરી થવા માટે માથું ટેકે છે. બે ધાર્મિક ધર્મસ્થાનો પર એકસાથે ઉમટતો મેળો હિંદુ–મુસ્લિમ એકતાનું અનોખું પ્રતીક બની રહ્યો છે. મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે હાજર રહી દરગાહ અને મંદિરે ઢેબરા, ચણા અને ફૂલ અર્પણ કર્યા. અંદાજે 500 વર્ષ જૂના હનુમાન મંદિર વિશે માન્યતા છે કે ક્યારેક હનુમાનજી અહીંના કૂવામાં પ્રગટ થયા હતા. આજેય મંદિરમાં ભોંયતળિયે સાત હનુમાનજી ની પ્રાચીન પ્રતિમાઓ દર્શનાર્થીઓને આકર્ષે છે. મેળાના મુખ્ય આકર્ષણ રૂપે માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ જ જોવા મળે છે. બાળકો, યુવકો અને યુવતીઓ પરંપરા અનુસાર એકબીજા સાથે કોઠા લડાવવાની મજા માણે છે. ચોખાની પાપડીનો સ્વાદ પણ મેળાની ખાસિયત ગણાય છે, જેને માણવા શ્રદ્ધાળુઓ ઉલ્લાસભેર ઉમટે છે. મેળાના બીજા ગુરુવારે પણ મોટી સંખ્યામાં યુવાનો કોઠું લડાવી, પાપડીનો સ્વાદ લેતા જોવા મળ્યા.સૈયદ પીર સુલતાન બાવાની દરગાહમાં દરેક કોમના લોકો દ્વારા દરખાસ્તો અને ઢેબરા અર્પિત કરવાની પરંપરા આજે પણ જીવંત છે. દરગાહ અને મંદિર બંને આસ્થાના કેન્દ્ર તરીકે પ્રદેશમાં કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:52 pm

નવસારીમાં PI પ્રવીણ પટેલિયાની બદલી:ગ્રામ્ય પોલીસ સ્ટાફે પુષ્પવર્ષા કરી વિદાય આપી

નવસારી જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ગ્રામ્ય પોલીસ મથકના PI પ્રવીણ પટેલિયાનો પણ સમાવેશ થાય છે. તેમની બદલી થતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી. પ્રવીણ પટેલિયા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ગ્રામ્ય પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સેવાકાળ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદાય સમારોહ દરમિયાન, પોલીસ સ્ટાફે તેમની ચેમ્બરથી લઈને ગ્રામ્ય પોલીસ મથકના મુખ્ય ગેટ સુધી પુષ્પવર્ષા કરી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ પોતાના અધિકારીને સન્માનપૂર્વક વિદાય આપી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:41 pm

પતિ અને સાસરિયા સામે ઘરેલું હિંસા અને દહેજની ફરિયાદ રદ્દ:પતિએ કહ્યું- પત્નીને UKનું નાગરિકત્વ મળે ત્યાં સુધી જ જોડે રહેશે, લંડનની કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા

પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશને એક પોલીસ અધિકારીએ પોતાની દીકરીની પાવર ઓફ એટર્ની દ્વારા દીકરીના સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ ધારા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પોલીસ અધિકારીની દીકરીના લગ્ન વર્ષ 2014માં પોરબંદર ખાતે થયા હતા. તેના સાસરીયાઓ દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. દીકરીના પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. 'પત્નીને UKની નાગરિકતા ન મળે ત્યાં સુધી બંને સાથે જ રહેશે'વર્ષ 2014માં ફરિયાદીની દીકરીના લગ્ન થયા હતા. તેના આઠ મહિના બાદ તે પતિ સાથે UK રહેવા ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વિખવાદ સર્જાયા હતા. બાદમાં વર્ષ 2017 માં બંનેના પરિવારોની સહમતિથી એગ્રીમેન્ટ થયો હતો કે જ્યાં સુધી પત્નીને UKની નાગરિકતા નહીં મળે ત્યાં સુધી બંને સાથે જ રહેશે. તેની ઉપર બંને તરફના વાલીની સહી છે. વર્ષ 2020માં UKની કોર્ટમાં છૂટાછેડાની અરજી કરવામાં આવી હતી. જેને UKની કોર્ટે વર્ષ 2024માં ગ્રાહ્ય રાખી છે. કોર્ટે સાસરીયાઓ સામેની પોલીસ ફરિયાદ રદ્દ કરી ફરિયાદી પત્નીના પિતા પોલીસ અધિકારી હોવાથી તેઓ સાસરિયા ઉપર દબાણ ઊભું કરવા ઈચ્છે છે. વળી ફક્ત પતિ અને પત્ની UKમાં સાથે રહેતા હતા. જ્યારે સાસરીયા તો ભારતમાં રહેતા હતા. હવે અરજદાર અને ફરિયાદી બંને UKમાં છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહે છે. ફરિયાદી અને તેના પિતાને ડર છે કે તેમના વિઝા કેન્સલ થાય નહીં એટલે આ ફરિયાદ કરવામાં આવી છે. હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખીને સાસરીયાઓ સામેની પોલીસ ફરિયાદ રદ્દ કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:38 pm

રાજકોટનાં આકાશ-ધરતી પર દેશભક્તિ ગુંજશે:અટલ સરોવર આસપાસ ભવ્ય સૂર્યકિરણ એર-શો અને એરફોર્સ બેન્ડ તેમજ શસ્ત્ર પ્રદર્શન સ્માર્ટ સિટીમાં બનશે આકર્ષણનું કેન્દ્ર

રાજકોટના નાગરિકો માટે ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ નજીક આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા અને ભારતીય વાયુ સેનાના સંયુક્ત ઉપક્રમે, દેશના સૌથી રોમાંચક કાર્યક્રમોમાંથી એક, ભવ્ય સૂર્યકિરણ એર-શો (Suryakiran Air-Show), પ્રતિષ્ઠિત એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ અને એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ તા. 07-12-2025ને રવિવારે 10:00 કલાકથી અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં યોજાશે, જે રાજકોટના આકાશ અને ધરતીને દેશપ્રેમ અને ગૌરવના રંગોથી રંગાશે. ઐતિહાસિક ઘટનાનું ભવ્ય આયોજન પ્રથમ વખત, રાજકોટના નાગરિકોને ભારતીય વાયુસેનાના વિશ્વપ્રસિદ્ધ 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' દ્વારા યોજાનારા એર શોની સાથેસાથે, ભારતીય વાયુસેનાના એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણવાનો અવસર પ્રાપ્ત થશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને ભારતીય વાયુસેનાની પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાની નજીક લાવવાનો, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવાનો અને શહેરની પ્રગતિશીલ છબીમાં એક અભૂતપૂર્વ ઉમેરો કરવાનો છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વસંધ્યાએ, તા. 06-12-2025ને શનિવારના સવારે 10:00 કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાશે, જે નાગરિકો માટે રોમાંચક ઝલક પ્રસ્તુત કરશે. મુખ્ય આકર્ષણોની વિગતો અદ્ભુત સૂર્યકિરણ એર શો (Suryakiran Aerobatic Team): ભારતીય વાયુસેનાની આ વિશ્વપ્રસિદ્ધ ટીમ અટલ સરોવરની આસપાસના આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરશે. ફાઇટર પ્લેન્સ દ્વારા આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ કાર્યક્રમમાં મહત્વનું આકર્ષણ બની રહેશે. એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ: પ્રથમ વખત, શહેરના નાગરિકો પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણી શકશે. બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિક રજૂ કરવામાં આવશે, જે દેશપ્રેમને નવી ઊંચાઈએ જશે. બે દિવસનું એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શન: ભારતીય વાયુસેનાના શસ્ત્રો અને સાધનોનું સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શન તા. 6 અને 7 ડિસેમ્બરના રોજ યોજાશે. આ પ્રદર્શન અટલ સરોવરના ગેઈટ નંબર 10ના પાર્કિંગ પ્લોટમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તમામ વયના નાગરિકોને મંત્રમુગ્ધ બનાવી દેશપ્રેમની અનુભૂતિ કરાવવા માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નાગરિકોએ આ પ્રદર્શન નિહાળવા અટલ સરોવરમાં પ્રવેશ લેવો જરૂરી નથી. નાગરિકો માટે વિશેષ વ્યવસ્થારાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ભવ્ય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લઈ શકે અને સમગ્ર પર્ફોમન્સ સરળતાથી નિહાળી શકે તે માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે: ભવ્ય અને મોટી સ્ક્રીન: અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં 17 થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીન મૂકવામાં આવશે. આ સ્ક્રીનના માધ્યમથી મોટી સંખ્યામાં લોકો ઉભા રહીને અને ભારતીય બેઠક કરીને સૂર્યકિરણ એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ નિહાળી શકશે. આ સ્ક્રીન પર એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી જોઈ શકાશે. સાઉન્ડ ટાવર: શહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઉભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ સ્પષ્ટપણે સાંભળી શકે તે માટે અટલ સરોવર ફરતે 30 થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરવામાં આવશે. જેના માધ્યમથી નાગરિકો ભવ્ય એર-શો અને લાઈવ બેન્ડને સંપૂર્ણ રીતે માણી આનંદ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકા દ્વારા તમામ નાગરિકોને પરિવાર સાથે આ અનોખા અને ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આકાશથી ધરતી સુધી વ્યાપતું આ ગૌરવમય પ્રદર્શન માણીને દેશના શૂરવીરોને સલામ કરવા તેમજ રાજકોટના વિકાસ ગાથામાં એક યાદગાર અધ્યાય ઉમેરવા માટે જોડાવા વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમ નાગરિકો માટે માત્ર મનોરંજન જ નહિ, પરંતુ દેશપ્રેમનું અનોખું, જીવંત અને ભાવનાત્મક આયોજન સાબિત થશે, જે રાજકોટને દેશના નકશા પર નવી ઓળખ આપશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:38 pm

ડાર્ક વેબ અને હાઈટેક ટૂલ્સને ક્રેક કરવાની ટ્રેનિંગ:સુરત પોલીસને દિલ્હીના એક્સપર્ટ્સે 17 મોડ્યુલ પર તાલીમ આપી, હવે દરેક પોલીસ સ્ટેશનમાં 'સાયબર વોરિયર્સ'ની ટીમ તહેનાત રહેશે

ડિજિટલ યુગમાં ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે. બંદૂક અને ચપ્પુની અણીએ થતી લૂંટ કરતાં હવે માઉસની એક ક્લિક પર લાખો રૂપિયાની છેતરપિંડી કરતી સાયબર ગેંગ વધુ સક્રિય બની છે. સુરત શહેરમાં વધતી જતી સાયબર ફ્રોડની ઘટનાઓને ડામવા અને હાઈટેક અપરાધીઓને તેમના જ દાવમાં મ્હાત આપવા માટે સુરત પોલીસે કમર કસી છે. આ માટે સુરત પોલીસ દ્વારા એક વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્હીથી આવેલા ખાસ એક્સપર્ટ્સ દ્વારા પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને સાયબર ક્રાઈમના અત્યાધુનિક ટૂલ્સ અને ડાર્ક વેબને ક્રેક કરવાની સઘન તાલીમ આપવામાં આવી છે. સાથે વિદેશમાં રહી સાયબર અપરાધ કરનાર આરોપી ને ઝડપી પાડવા માટે CBI અને ઇન્ટરપોલની મદદ કઈ રીતે લઇ શકાય તેની પણ ટ્રેનિંગ લેવામાં આવી. દિલ્હીના એક્સપર્ટ્સ દ્વારા 17 મોડ્યુલ પર માર્ગદર્શનસાયબર માફિયાઓ રોજબરોજ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પોલીસ માટે પરંપરાગત તપાસ પદ્ધતિઓ કારગત નીવડતી નથી. આ પડકારને પહોંચી વળવા માટે સુરત પોલીસ દ્વારા 2 દિવસીય ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દિલ્હીથી સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સને ખાસ બોલાવવામાં આવ્યા હતા. આ નિષ્ણાતોએ સાયબર ક્રાઈમને લગતા વિવિધ 17 જેટલા જટિલ વિષયો પર તૈયાર કરેલા મોડ્યુલ દ્વારા પોલીસ જવાનોને ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જ્યારે પણ કોઈ સાયબર ફ્રોડ થાય, ત્યારે પોલીસ માત્ર ફરિયાદ નોંધીને બેસી ન રહે, પરંતુ ત્વરિત એક્શન મોડમાં આવીને ગુનેગારો સુધી પહોંચી શકે. ડાર્ક વેબ અને સાયબર ટૂલ્સનું ક્રેકિંગ: ટ્રેનિંગનું મુખ્ય પાસુંઆ ટ્રેનિંગનું સૌથી મહત્વનું પાસું ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હતું. સાયબર અપરાધીઓ જે સોફ્ટવેર ટૂલ્સ, VPN અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવે છે, તેને કઈ રીતે ભેદવું તે અંગેની ઝીણવટભરી માહિતી પોલીસને આપવામાં આવી હતી. સામાન્ય રીતે સાયબર ગઠિયાઓ વિદેશી નંબર અને ડાર્ક વેબના માધ્યમથી ગુનાને અંજામ આપતા હોય છે જેથી તેમનું લોકેશન ટ્રેસ ન થઈ શકે, પરંતુ આ ટ્રેનિંગમાં એક્સપર્ટ્સ દ્વારા શીખવવામાં આવ્યું છે કે કઈ રીતે આવા એનક્રિપ્ટેડ નેટવર્કને તોડીને અપરાધીનું ચોક્કસ લોકેશન મેળવી શકાય. હવે સુરત પોલીસના જવાનો પણ જાણી શકશે કે ગુનેગાર દુનિયાના કયા ખૂણે બેસીને કમ્પ્યુટર ઓપરેટ કરી રહ્યો છે. દરેક પોલીસ સ્ટેશનમાં 'સાયબર વોરિયર્સ'ની ટીમસુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના દરેક પોલીસ સ્ટેશનને હવે સાયબર ક્રાઈમ સામે લડવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં હવે એક ડે dedicated સાયબર ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ ટીમમાં 3થી 5 જેટલા તાલીમબદ્ધ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકલ લેવલ પર આવતી સાયબર ફ્રોડની ફરિયાદોનું પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન કરવાનો છે. જો કેસ વધુ જટિલ હોય તો તેઓ મુખ્ય સાયબર સેલની મદદ લેશે, પરંતુ સામાન્ય ફ્રોડના કેસોમાં ત્વરિત કાર્યવાહી કરીને ભોગ બનનારના નાણાં બચાવવા અથવા રિકવર કરવા માટે આ ટીમ 'ફર્સ્ટ રિસપોન્ડર' તરીકે કામ કરશે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતનું નિવેદનઆ ટ્રેનિંગ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ હાલના સમયમાં પોલીસ માટે એક મોટો પડકાર છે. હવે માત્ર આર્થિક છેતરપિંડી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી એન્ટી-નેશનલ પ્રવૃત્તિઓ, ખંડણીની ધમકીઓ અને ચારિત્ર્ય હનન જેવા ગુનાઓ પણ વધી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સાયબર ક્રિમિનલ્સ સતત પોતાની મોડસ ઓપરેન્ડી બદલતા રહે છે, તેથી પોલીસે પણ અપડેટ રહેવું અનિવાર્ય છે. આ 2 દિવસીય સેમિનાર અને 17 મોડ્યુલ્સની ટ્રેનિંગથી સુરત પોલીસ હવે આવા હાઈટેક કેસોને ક્રેક કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ગુનો નોંધવાનો નથી, પરંતુ ગુનેગાર જ્યાં પણ બેઠો હોય ત્યાં સુધી પહોંચવાનો છે. 'ડિજિટલ અરેસ્ટ' અને આંતરરાષ્ટ્રીય તપાસહાલમાં દેશભરમાં ચર્ચામાં રહેલા 'ડિજિટલ અરેસ્ટ' જેવા ફ્રોડમાં મોટાભાગે વિદેશમાં બેઠેલા ગઠિયાઓનો હાથ હોય છે. આવા કિસ્સામાં આરોપીઓ વિદેશી ધરતી પરથી ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરે છે. આ પડકારને પહોંચી વળવા માટે પણ ટ્રેનિંગમાં ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. CBI અને ઇન્ટરપોલની મદદ લઈને વિદેશમાં છુપાયેલા આરોપીઓને કઈ રીતે ટ્રેસ કરવા, તેમના વિરુદ્ધ પુરાવા કઈ રીતે એકત્ર કરવા અને તેમને કાયદાકીય પ્રક્રિયા દ્વારા ભારત લાવીને કઈ રીતે સજા અપાવવી, તે અંગેનું એક ખાસ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. આમ, સુરત પોલીસ હવે પરંપરાગત લાકડી અને કાયદાની સાથે સાથે ટેકનોલોજીના હથિયારથી પણ સજ્જ બની છે. ઉચ્ચ અધિકારીઓથી લઈને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સુધી તમામને આપવામાં આવેલી આ ટ્રેનિંગ આગામી દિવસોમાં સાયબર અપરાધીઓ માટે ભારે પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:32 pm

ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી 5 સગીર વિદ્યાર્થિની દીવાલ કૂદી નાશી છૂટી:પોલીસે મધરાત્રે જ પાંચેયને અમદાવાદથી શોધી કાઢી, ભણતરનો ભાર કારણભૂત

ગાંધીનગરના અડાલજ બાલાપીર સર્કલ નજીક આવેલી માણેકબા સ્કૂલમાં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી અને કેમ્પસમાં આવેલી પરીક્ષિત લાલ હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થિનીઓએ ગતરાત્રિએ હોસ્ટેલની દીવાલ કૂદીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાંચ વિદ્યાર્થિનીઓ દીવાલ કૂદવામાં સફળ રહી હતી જ્યારે ત્રણ કૂદી શકી ન હતી. પાંચ વિદ્યાર્થિનીઓ રાત્રિના 1 વાગ્યાના અરસામાં નાસી છૂટતા હોસ્ટેલ સંચાલકોમાં દોડધામ મચી હતી. સંચાલકો દ્વારા તાત્કાલીક દીકરીઓના પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા પાંચેય દીકરીઓ અમદાવાદથી મળી આવી હતી. સદનસીબે સગીરાઓ સાથે રાત્રિના સમયે કોઈ અણબનાવ ન બનતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસનું માનીએ તો, વિદ્યાર્થિનીઓએ ભણતરના ભારથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. રાત્રિના 1 વાગ્યે હોસ્ટેલની દીવાલ કૂદી નાશી છૂટીપ્રાપ્ત માહિતી અનુસાર આઠ જેટલી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાંથી ભાગી છૂટવા માટે મધરાત્રે 1 વાગ્યાની આસપાસનો સમય પસંદ કર્યો હતો. મોકો મળતાં જ એક પછી એક છોકરીઓ હોસ્ટેલની ઊંચી દીવાલ ઉપર ચડીને બહાર નીકળી ગઈ હતી. જોકે આઠ પૈકી ત્રણ છોકરીઓ ઊંચી દીવાલ કૂદી શકી ન હોવાથી હોસ્ટેલની અંદર જ રહી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલ અને હોસ્ટેલ પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસની અલગ અલગ ટીમો એક્ટિવ થઈઆ ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપની ટીમો તુરંત જ એક્ટિવ થઈ ગઈ હતી. પોલીસને મળેલી પ્રાથમિક માહિતીના આધારે પાંચ છોકરીઓ તેમના વતન બાવળા તરફ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો. ગણતરીના કલાકોમાં પાંચેય છોકરીઓ અમદાવાદથી મળી આવીપોલીસની જુદી જુદી ટીમોએ સતત તપાસ અને કો-ઓર્ડિનેશનના આધારે માત્ર ગણતરીના કલાકોમાં જ પાંચ જેટલી છોકરીઓને શોધી કાઢી હતી. જેનાથી પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આ છોકરીઓને પરત લાવીને નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. ભણતરના ભારથી કંટાળી ભાગી હોવાનું સામે આવ્યુંઆ બનાવની જાણ થતાં જ પાંચેય છોકરીઓના પરિવારજનો અડાલજ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા છે. આ અંગે અડાલજ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, માણેક બા સ્કૂલમાં ભણતી અને સ્કૂલ કેમ્પસમાં આવેલ પરીક્ષિત હોસ્ટેલમાં 80 જેટલી છોકરીઓ રહે છે. હોસ્ટેલમાંથી ભાગનાર આ છોકરીઓ ભણતરના ભારને લીધે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે . આ તમામ છોકરીઓ ધોરણ 7 થી 8 માં ભણે છે. છોકરીઓને પરત લાવી તેમના વિગતવાર નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે.જેના પછી જ આ બનાવ પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલની દીવાલ કુદવા માટે આઠ છોકરીઓએ પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણ છોકરીઓ કોઈ કારણસર દીવાલ કૂદી શકી ન હતી. જે ત્રણ છોકરીઓ દીવાલ કૂદવામાં નિષ્ફળ રહી હતી તેમણે રૂમમાં જઈને કપડાં બદલીને ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ ગૃહ માતાને કરી હતી. જેના પગલે હોસ્ટેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મોડી રાતે જ હોસ્ટેલ તંત્ર દ્વારા પાંચેય છોકરીઓના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી હતી. હોસ્ટેલ દીવાલ કુદયા પછી પાંચેય છોકરીઓ ચાલતી ચાલતી કેનાલ તરફ ગઈ હતી. જ્યાંથી રિક્ષામાં ઇસ્કોન સર્કલ પહોંચી હતી. જ્યાંથી વાહનમાં બેસી પાંચ પૈકી એક છોકરીના બાવળા ખાતેના ઘરે જતી રહી હતી. બે છોકરીઓ સાતમા અને ત્રણ છોકરીઓ આઠ ધોરણમાં ભણે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:24 pm

એલસીબીએ લાખોનો દારૂ ઝડપી પાડ્યો.:પોરબંદર-માંગરોળ હાઇવે પરથી લાખોની કિંમતના વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ₹69 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ

પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મસમોટો પ્રોહીબિશનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં અગાઉ પણ લાખોની કિંમતનો દારૂ ઝડપાયો છે ત્યારે જૂનાગઢ આઇજી નિલેશ જાજાડીયાની અને એસપી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ દારૂની બધીને નાસ્તો નાબૂદ કરવા કળ સુચના આપી હતી.જેને લઈ હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમે વિદેશી દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાના અભિયાન હેઠળ આ કાર્યવાહી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોરબંદર-માંગરોળ હાઇવે રોડ પર વરામ બાગ સામે ઊભેલા એક ટ્રકની તપાસ કરવામાં આવી હતી, જે બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને આવ્યો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 5544 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹48,90,000/- થાય છે. દારૂ, મોબાઇલ ફોન ₹10,000 અને ટ્રક ₹20,00,000/-મળીને પોલીસે કુલ ₹69,00,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જથ્થા સાથે એલસીબી એ ઉત્તર પ્રદેશ અસનાહરાના અફઝલઅલી સફાતઅલી મંસુરીની પણ ધરપકડ કરી હતી. પકડાયેલા આ આરોપી વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલ, પો. સબ ઇન્સ્પેક્ટર ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ. વિજય બડવા, સમરણ સોલંકી, નિકુલ પટેલ, જગદીશભાઈ ગરચર અને પો. હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ વાળા, જાદવભાઈ સુવા, જીતેષ મારુ સહિતના પોલીસ સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી...

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:21 pm

સુરતીઓ સાવધાન... રીંગરોડ બ્રિજ પર જતા પહેલા આ વાંચો:50 મીટરના અંતરમાં ત્રણ બમ્પ બનાવી દેતા લોકો હેરાન-પરેશાન, વાહનચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ

સુરતીઓએ સાવધાન થવું પડે તે પ્રકારનું એક કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સુરત શહેરનો સૌથી વ્યસ્ત ગણાય એવો રિંગરોડ બ્રિજ પર 50 મીટરના અંતરમાં ત્રણ પંપ બનાવી દેવામાં આવ્યા છે. આ બમ્પના કારણે વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ સાથે આ બમ્પના કારણે અનેક ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. જેના પગલે વાહન ચાલકો દ્વારા આ બંપ દૂર કરવાની માંગ કરી રહ્યા છે. રેલ્વે સ્ટેશનથી લઈને અઠવાગેટ સુધી ટ્રાફિકજામના દૃશ્યોશહેરમાં ચાલી રહેલા મેટ્રો અને સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલોપમેન્ટના કામના કારણે રસ્તાઓ પર બેરેકેટ મારી દેવામાં આવેલા છે. જેના પગલે સુરત રેલ્વે સ્ટેશનથી લઈને અઠવાગેટ સુધી ટ્રાફિકજામના દૃશ્યો રોજબરોજ જોવા મળી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનના કામના કારણે દિલ્હીગેટ થી રિંગ રોડ સુધી બેરીકેટ મારી દેવામાં આવ્યા છે. તેના પગલે રોજબરોજ ટ્રાફિકજામ થઈ રહ્યો છે. ત્યારે હવે સુરત શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા રિંગ રોડ બ્રિજ પર બમ્પ મૂકવામાં આવ્યા છે. 50 મીટરના અંતરમાં ત્રણ બમ્પ મૂકવામાં આવ્યા કૃષિ બજાર પાસે રીંગરોડ બ્રિજ ઉતરતા પહેલા 50 મીટરના અંતરમાં ત્રણ બમ્પ મૂકવામાં આવ્યા છે. ઉધના તરફથી રેલ્વે સ્ટેશન તરફ જતા વાહનચાલકોને અચાનક જ આવી જતા બમ્પના કારણે અકસ્માતનું ભોગ બનવું પડી રહ્યું છે. બમ્પના કારણે બ્રેક મારતાની સાથે જ પાછળથી આવતા વાહનો અથડાઈ રહ્યા છે. આ સાથે જ અચાનક આવેલા બમ્પના પગલે વાહનો ઉછાળશે અને વાહનોના અકસ્માત થઈ રહ્યા છે. ઢાળ પર આટલા મોટા બમ્પર લાગી જશે તો એક્સિડન્ટ જ થશેનંદિની સોલંકીની નામની ગર્લે જણાવ્યું હતું કે, રિંગરોડ પર જે બ્રિજ છે, ત્યાં પહેલા ક્યારેય આટલા બમ્પર નહોતા. આજે એકસાથે ત્રણ બમ્પર લગાવી દીધા છે. લોકોના મગજમાં પણ નથી હોતું કે, ઢાળ પર અચાનકથી આટલા મોટા બમ્પર લાગી જશે તો એના કારણે એક્સિડન્ટ પણ ઘણા બધા થઈ રહ્યા છે. લોકો અચાનકથી ઊભા રહીને જોઈ પણ રહ્યા છે અને પાછળની ગાડીઓ પણ એકબીજા સાથે ટકરાઈ રહી છે, તો ખૂબ જ લડાઈ પણ થઈ રહી છે. એક સાથે ત્રણ-ત્રણ બમ્પના કારણે વધુ તકલીફ પડી રહી છેવધુમાં જણાવ્યું હતું કે, એક રીતે જોઈએ તો ગવર્મેન્ટે વિચાર્યું છે તો સારા માટે જ વિચાર્યું હશે કે એક્સિડન્ટ ન થાય, થોડી ગાડી ધીમે ઉતરશે તો બંને રોડ મેચ થાય તો એક્સિડન્ટ ન થાય. પણ તમે એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ લગાવ્યા છે તો થોડું જોવું જોઈએ. અચાનક બમ્પ આવી જતા બહુ જોરથી મતલબ ધક્કો લાગે છે ગાડીની અંદર, અને એક સાથે ત્રણ-ત્રણ છે. બહુ પ્રોબ્લેમ થઈ રહી છે. અહિંયાથી બ્રેકર હટાવો, બ્રેકર નહીં ચાલેસાજીદ નામના પિક અપ ટેમ્પાના ચાલકે જણાવ્યું હતું કે, આ બ્રેકર હટાવો. આ બ્રેકર નહીં ચાલે. હમણાં ખૂબ જ મુશ્કેલી થઈ છે મને. મેં અર્જન્ટ બ્રેક મારી છે. અરે, બાઇકવાળો હતો, અર્જન્ટ બ્રેક મારી. અકસ્માત થતા-થતા રહી ગયો છે. રિક્ષાચાલક કનૈયાલાલે જણાવ્યું હતું કે, આ જે આટલા મોટા મોટા બમ્પ લગાવ્યા છે, તે ખોટા છે. ધીમા વાહન ચલાવવા માટે, બરોબર છે પણ થોડા ધીમાવાળા, આટલા મોટા-મોટા નહીં. ગાડી કૂદી રહી છે અને સવારીને તકલીફ થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:19 pm

વેરાવળ બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરે:પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 17 હોદ્દેદાર માટે મતદાન

વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 17 હોદ્દેદા માટે આગામી 19 ડિસેમ્બર, 2025ના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડના લાયબ્રેરી હોલ ખાતે યોજાવાની છે. એડવોકેટ કે. એચ. રાઠોડને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા ચૂંટણી અધિકારી કે.એચ. રાઠોડે જણાવ્યું હતું કે, ઉમેદવારી ફોર્મ 4 થી 6 ડિસેમ્બર, 2025 દરમિયાન ઉપાડી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર, 2025 નક્કી કરાઈ છે. ઉમેદવારોની અંતિમ યાદી 10 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવશે. મતદાન 19 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થશે. સાંજે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં વેરાવળ બાર એસોસિએશનમાં નોંધાયેલા કુલ 382 એડવોકેટ્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ગુજરાત કાઉન્સિલિંગ ઓફ બાર એસોસિએશન, અમદાવાદના નિયમો અનુસાર યોજાશે. ચૂંટણી કમિશનર અને તેમની ટીમ સમગ્ર પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરાવશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:16 pm

પાટણ LCBએ રાધનપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:3.22 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝડપાયા, ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના છતર ઓગાળીને તેના ચોરસા બનાવી દીધા હતા

પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ (વડલારા) ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. LCB એ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹3,22,893/-ની કિંમતના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. આ ચોરીની ઘટનામાં, અલ્હાબાદ (વડલારા) ગામના મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી ₹58,000/-ના સોના-ચાંદીના દાગીના અને ₹1,00,000/- રોકડની ચોરી થઈ હતી. આ ઉપરાંત, પંચાલ જીવાભાઈ ગોરધનભાઈના ઘરેથી ₹12,000/- રોકડ, ₹19,000/-ના સોના-ચાંદીના દાગીના અને ₹2,000/-ની સોનાની વીંટી સહિત કુલ ₹1,91,000/-ની ચોરી થઈ હતી. LCB ટીમને બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ઈસમો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા માટે રાધનપુર તાલુકાના અરજણસર ગામના તળાવમાં ભેગા થયા છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી વોચ ગોઠવી ચાર ઈસમોને પકડી પાડ્યા હતા. પૂછપરછ કરતા પકડાયેલા ઈસમોએ સહઆરોપી ઠાકોર સવસીભાઈ ઉર્ફે અરવિંદ પુનાભાઈ (રહે. અરજણસર)ની મદદગારીથી 21/11/2025 ના રોજ અલ્હાબાદ (વડલારા) ગામે મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી ઠાકોર સંજય ઉર્ફે જીગર અમરતભાઈ અને ઠાકોર સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ અલ્હાબાદ ગામના વતની હોવાથી તેમણે ફરિયાદીના ઘરની રેકી કરી હતી. ફરિયાદી અમદાવાદ ગયા હોવાની જાણ થતાં તેમણે સહઆરોપીઓ સાથે મળીને ચોરી કરી હતી. ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના છતર ઓગાળીને તેના ચોરસા બનાવી દીધા હતા, જેથી સોની બજારમાં સરળતાથી વેચાણ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:13 pm

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ:81 બોટલ સાથે ઉધનાનો મેડિકલ સ્ટોર ઝડપાયો, ડમી ગ્રાહકને મોકલતા પોલ ખુલી

સુરત શહેર SOG દ્વારા શહેરના કેટલાક મેડિકલ સ્ટોર્સ પર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક મેડિકલ સ્ટોર્સ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ્સનું વેચાણ કરીને યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવી રહ્યા હતા. આવી પ્રવૃત્તિઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાથી, S.O.G. દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 81 બોટલ સાથે ઉધનાનો મેડિકલ સ્ટોર ઝડપાયો છે. પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ થતી સિરપ અને ટેબ્લેટ્સનો જથ્થો જપ્તS.O.G.ને ઉધના વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર વિશે બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ઉધના અમન સોસાયટી, દુકાન નંબર-2 ખાતે આવેલા રાધે મેડિકલ પર ટ્રેપ ગોઠવવામાં આવી. ડમી ગ્રાહકને મોકલતા, મેડિકલ સ્ટોરના સંચાલક અમનકુમાર અરવિંદપ્રસાદ શાહ (ઉંમર 24) એ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કર્યું. આ પ્રવૃત્તિની પુષ્ટિ થતાં, ટીમે તુરંત રેડ કરી અને સ્થળ પરથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ થતી સિરપ અને ટેબ્લેટ્સનો જથ્થો જપ્ત કર્યો. મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાર્યવાહીરેડ દરમિયાન કુલ 81 નંગ સિરપની બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત રૂ. 8,033 થાય છે. જેમાં REXN-T: 50 નંગ, CONEX-T10: 31 નંગ મળી આ 81 બોટલનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચવામાં આવતો હતો, જે યુવાનોને નશાની ગર્તામાં ધકેલવાનું મોટું કાર્ય દર્શાવે છે. હાલમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સીરપ અને ટેબ્લેટના જથ્થા બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો તપાસમાં આ વેચાણ ગેરકાયદેસર જણાશે, તો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:12 pm

Putin India Visit LIVE Updates: રશિયાના પ્રમુખ પુતિન મોસ્કોથી રવાના, થોડી કલાકોમાં દિલ્હી પહોંચશે

Image Source: IANS Putin India Visit: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે રવાના થયા છે. તેઓ આજે(4 ડિસેમ્બર) સાંજે લગભગ 6:30 વાગ્યે દિલ્હી પહોંચશે.

ગુજરાત સમાચાર 4 Dec 2025 5:07 pm

તલાટી એક વર્ષમાં 2000 લગ્ન કરાવી 50 લાખ કમાયો, VIDEO:પંચમહાલનું કાણજીપાણી ગામ 'બોગસ લગ્ન નોંધણી'નું એપી સેન્ટર, લાલજી પટેલનો દાવો એક જ યુવતીની 3 કલાકમાં 4 શહેરોમાં હાજરી

રાજ્યમાં પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેને લઈને છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માગ કરતા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. મહેસાણામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જમાવ્યું હતું કે, પંચમહાલનું કણજીપાણી ગાણ બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર છે. આ ગામના તલાટીએ એક વર્ષમાં 2 હજાર લગ્ન કરાવી 50 લાખની કમાણી કરી હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લાલજી પટેલે દસ્તાવેજી પુરાવાઓ સાથે દાવો કર્યો છે કે, કાયદાની છટકબારીઓનો લાભ લઈ તેમજ અધિકારીઓની મિલીભગતથી અશક્ય લાગતી ઘટનાઓને કાગળ પર શક્ય બનાવવામાં આવી રહી છે. એક યુવતીની ત્રણ કલાકમાં ચાર શહેરોમાં હાજરીલાલજી પટેલે ચોંકાવનારો કિસ્સો રજૂ કરતા જણાવ્યું હતું કે, ગત તા. 14 નવેમ્બર 2025ના રોજ એક યુગલે લગ્ન કર્યા હતા. આ લગ્નની પ્રોસેસમાં જે રીતે સ્થળ અને સમય દર્શાવવામાં આવ્યો છે તે જોઇને કોઈપણ ચોંકી ઉઠે તેમ છે. લાલજી પટેલના દાવા મુજબ એક યુવતીએ એક જ તારીખે અને માત્ર 3 કલાકના સમયગાળામાં અલગ અલગ 4 જગ્યાએ પોતાની હાજરી બતાવી છે. યુગલ હાજર ન હોવા છતાં કાગળ પર પ્રક્રિયા પૂર્ણ કરાઈઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ જિલ્લાના શહેરો અને ત્યાંથી છેક પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામ વચ્ચેનું અંતર જોતા માત્ર 3 કલાકમાં આટલી જગ્યાએ રૂબરૂ જઈને સહી કરવી તે સુપરફાસ્ટ પણ નહીં પરંતુ અશક્ય છે. આથી એ જાણવા મળ્યું છે કે, લગ્ન કરનાર યુગલ ત્યાં હાજર ન હોવા છતાં માત્ર કાગળ પર જ આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. કણજીપાણી ગામ લગ્ન નોંધણીનું એપી સેન્ટરલાલજી પટેલ પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામને નિશાન બનાવી ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ એક જ ગામમાં માત્ર 3 દિવસમાં 24 જેટલા લગ્નો રજિસ્ટર થયા છે. આ આંકડો સામાન્ય નથી. રાજ્યભરના યુગલો અહીં લગ્ન નોંધણી કરાવવા આવે છે. તલાટીએ એક વર્ષમાં 50 લાખની કમાણી કરીઆ કૌભાંડમાં સ્થાનિક તંત્રની મિલીભગત હોવાનો પણ લાલજી પટેલે ખુલ્લો આક્ષેપ કર્યો છે. તેમણે કણજીપાણી ગામના તલાટી અર્જૂન મેઘવાલનું નામ જોગ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, તલાટી પોતે જ કબૂલે છે કે તેણે વર્ષ 2025માં એક જ વર્ષમાં 2000 જેટલા લગ્નો કરાવ્યા છે. લાલજી પટેલના દાવા મુજબ તેમની પાસે એક વીડિયો પુરાવો પણ છે જેમાં તલાટી કથિત રીતે બોલી રહ્યા છે કે, તે એક લગ્નના નોંધણી પેટે 2500 રૂપિયા લે છે. જો ગણતરી માંડવામાં આવે તો એક લગ્નના 2500 રૂપિયા લેખે 2000 લગ્નના સીધા 50 લાખ રૂપિયાની કમાણી તલાટીએ કરી હોવાનો અંદાજ છે. સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરવાની SPGની માગભાગીને લગ્ન અને પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગ સાથે લડત ચલાવી રહેલા લાલજી પટેલે સરકાર સમક્ષ ઉગ્ર માગ કરી છે. તેમણે કહ્યું કે, લગ્ન નોંધણી મુદ્દે ચાલી રહેલા આ ગોરખધંધાની સરકારે તાત્કાલિક તપાસ કરવી જોઇએ. જે રીતે બોગસ દસ્તાવેજો ઊભા કરીને પોતાની હાજરી વગર લગ્નો રજિસ્ટર થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:03 pm

બોટાદમાં 115 આંગણવાડી કાર્યકર-તેડાગરને નિમણૂક ઓર્ડર મળ્યા:મુખ્યમંત્રીના હસ્તે રાજ્યભરના 9000થી વધુ આંગણવાડી કાર્યકર-તેડાગરને નિમણૂક ઓર્ડર

બોટાદ જિલ્લામાં 115 આંગણવાડી કાર્યકર અને તેડાગરને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યભરમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં બાળકોના જીવન ઘડતરના પ્રારંભિક સ્ત્રોત સમા આંગણવાડીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આંગણવાડીઓ બાળકોના શિક્ષણ અને પોષણની કાળજી લેતા નંદઘર સમાન છે. આ રાજ્યવ્યાપી નિયુક્તિ પ્રક્રિયા અંતર્ગત, બોટાદ જિલ્લાની 115 બહેનોને પણ સત્તાવાર રીતે નિમણૂક ઓર્ડર મળ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (સ્વતંત્ર હવાલો) ડો. મનીષાબેન વકીલે બોટાદ જિલ્લાના નવનિયુક્ત કાર્યકર અને તેડાગર બહેનોની મુલાકાત લીધી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ નવનિયુક્ત કાર્યકરો અને તેડાગરો હવે બાળકોને માતૃસ્નેહ આપીને તેમના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે. આ નિમણૂકથી બોટાદ જિલ્લાની આંગણવાડીઓની કામગીરીને વધુ વેગ મળશે અને નાના બાળકોના શિક્ષણ તથા પોષણની કાળજી વધુ સુદૃઢ બનશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:59 pm

સુરતમાં ટ્વિન્સને જન્મ આપ્યા બાદ માતાના મોતથી રોષ:ડોક્ટરની બેદરકારીથી મોતના આક્ષેપ સાથે ન્યાય અપાવવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા SIT કમિટિ બનાવવા માંગ, CM ને પત્ર લખ્યો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ માં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું. 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતના ને પત્ર લખીને ન્યાય અપાવવા અને દોશીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરવામાં આવી છે. દશનામ ગોસ્વામી સમાજ પત્રમાં લખ્યું છે કે, સુરત પુણાગામ, સદવિચાર હોસ્પીટલ ખાતે નિકીતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝરીયન ડિલવરી સમયે 2 બાળકોને જન્મ આપ્યા બાદ પરિજનોના આક્ષેપ મુજબ ડોક્ટર ની બેદરકારી ના કારણે માતા (નિકીતા ગોસ્વામી) નું મૃત્યુ થયું છે. સાધુ સમાજ ની દિકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે, જે યોગ્ય ન્યાયીક અને પુરતી તપાસ માટે SIT કમિટિનુ ગઠન કરવા રજૂઆત છે. હિતેશગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પુણા ગામ, સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતા અને આઠમા મહિને ડિલિવરી સમયે બે બાળકોને, ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરોની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું. ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે. વધુમાં જણાવ્યું હતું કે, સાધુ સમાજની આ દીકરી તો જતી રહી છે પણ અન્ય સમાજની કોઈપણ દીકરી સાથે આવી ઘટના ન ઘટે એના માટે કડક પગલા લેવા માટે અને આવેદન આપવા માટે કલેક્ટર સુરતને આવતીકાલે એટલે કે 5/12/2025 ને શુક્રવાર બપોરે 12:00 કલાકે કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સાધુ સમાજ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવાનો છે. સમાજે કરેલી અલગ અલગ માંગણીઓ એનેસ્થેટિક ડોક્ટર કોણ હતા, ઓપરેશન પહેલા ક્યારે આવ્યા, ક્યારે ગયા તે સીસીટીવી રેકર્ડ મુજબ તપાસવુ. એનેસ્થેટિક ડોક્ટરે સારવાર પેપરમાં મારેલી નોંધ તેજ ડોક્ટરના અક્ષરો છે તેનો એફએસએલ રિપોર્ટ કરવુ. પેશન્ટને ક્યા પ્રકારનું અનેસ્થેસિયા આપવામાં આવેલ હતુ અને શું કામ ? આઈસીયુ સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોને આધિન છે કે કેમ ? (ડબલ ડોર અને પાંચ બેડ નથી) આઈસીયુ માં ક્યા પ્રકારની સારવાર આપેલ અને હાજર તમામ સ્ટાફની ડિગ્રી તપાસવી આઈસીયુમાં બિનજરૂરી લોકોની અવરજવર મનાઈ હોય છે તો સીસીટીવી મુજબ તપાસ કરવી ટ્વિન્સ બાળકો હતા માટે ઓપરેશન સમયે બાળકોના ડોક્ટર હાજર હતા કે કેમ તેની તપાસ કરવી જો ડોક્ટરને ખ્યાલ હતો કે પેશન્ટ હાઈ-રીસ્ક છે, તો ઈન્ટેન્સિવિસ્ટ તરીકે કોણ હાજર હતુ ? જો કેસ ઈમરજન્સી હતો તો ફિઝિશિયન ફિટનેસ રીપોર્ટ છે કે કેમ, કયા કારણોસર ઈમરજન્સી નક્કી કર્યું? હોસ્પીટલમાં પીએમજે યોજના કાર્યરત હતી તો ડિલવરી પીએમ જે યોજના માં કેમ કરવામાં ન આવી. હોસ્પીટલ ચલાવવા માટે જરૂરી BUC, BMW, GPCB, ફાયર, ક્લિનિકલ એસ્ટૈબ્લિશમેંટ, વગેરે ચેક કરવું. ડૉ. વિણા કંડેલ અને ડૉ. વાળા દ્વારા અગાઉ થયેલ ઓપરેશનોમાં થયેલ બેદરકારીની અરજીઓ અને એફઆઈઆરની તપાસ કરવી

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:54 pm

બોટાદમાં 10194 ખેડૂતોને 34.05 કરોડ ચૂકવાયા:પાક નુકસાની સહાયની પ્રક્રિયા ગતિમાં; બોટાદ જિલ્લામાં કુલ 70,134 અરજી પ્રાપ્ત થઈ

બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાય અંતર્ગત 10,194 ખેડૂતોને રૂ. 34.05 કરોડની સીધી ચુકવણી કરવામાં આવી છે. બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાલ ગતિમાં છે. ઓક્ટોબર 2025ના અંતમાં પડેલા વરસાદને કારણે થયેલી પાક નુકસાનીના પગલે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ બોટાદ જિલ્લામાં કુલ 70,134 અરજી પ્રાપ્ત થઈ છે. બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે મળેલ ગ્રાન્ટમાંથી બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:49 pm

કમળાના કેસ વધતાં કાર્યવાહી:નગરપાલિકા અને ફૂડ વિભાગે ખાણીપીણીની લારીઓ પર દરોડા પાડ્યા

છોટાઉદેપુર નગરમાં કમળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ અન્ય રોગો પણ માથું ઊંચકી રહ્યા છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે, નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને કમળાના વધતા કેસો અંગે જાણ કરવામાં આવી હતી. આ સૂચનાના આધારે, નગરપાલિકાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કર્યો અને નગરમાં ખાણીપીણીની ગુણવત્તા ચકાસવા માટે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી. આ તપાસ અભિયાન છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે, જેમાં કુલ 10 જેટલી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે. નગરમાં ચોપાટી પર ઊભેલી પાણીપુરીની લારીઓ, ફાસ્ટ ફૂડ, ચાઈનીઝ અને નાસ્તા હાઉસ જેવા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, પાણીપુરીની લારીઓ પરથી તમામ બાફેલા બટાકા બગડેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય ફાસ્ટ ફૂડ અને ચાઈનીઝની લારીઓ પર પણ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સંબંધિત ગેરરીતિઓ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:45 pm

મહિયારીમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું:5 કિલો લીલા ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. જીન પ્લોટ વિસ્તારમાં કરાયેલી રેઇડ દરમિયાન, મહિયારીના રામ સુકાભાઈ પરમારને પાંચ કિલો લીલા ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીના મકાનના ફળિયામાં તપાસ કરવામાં આવી હતી. આ મકાન તળાવની પાળ પાસે આવેલું છે. ત્યાંથી ૮ ફૂટ ૫ ઇંચ ઊંચાઈનો એક લીલો ગાંજાનો છોડ મળી આવ્યો હતો, જેનું વજન પાંચ કિલો નોંધાયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,50,000/- અંદાજવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી રામ સુકાભાઈ પરમારની તાત્કાલિક ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિયારી ગામમાં લાંબા સમયથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની શંકાને પગલે પોલીસે વિસ્તારમાં સઘન ચેકિંગ અને દેખરેખ વધારવાની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:42 pm

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરીને જજો!:દિલ્હી-હૈદરાબાદથી આવતી 3 ફ્લાઈટ કેન્સલ, દુબઈ-મુંબઈ સહિતની 12 ડીલે; કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈન

અમદાવાદના SVP એરપોર્ટ પર ઈન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ, 12 ફ્લાઇટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે અને હવે તેમની ફ્લાઇટ ક્યારે આવશે અને ક્યારે મળશે તેની પણ કોઈ ખાતરી નથી. હાલ ફ્લાઈટ ફ્લાઈટ મોડી આવવા અને મોડી ઉપડવાના કારણે પેસેન્જર રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર પર ઇન્કવાયરી કરી રહ્યા છે. 10 વાગ્યાથી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોતા હવે આવતીકાલની ટિકિટ મળીઅમદાવાદ એરપોર્ટ પર 60 વર્ષીય પેસેન્જર શેખર ચૌહાણે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, મારી ફ્લાઈટ આજરોજ સવારે 10 વાગ્યાની હતી પણ સવારથી અત્યાર સુધીમાં ત્રણ વખત મારી ફ્લાઈટ ડીલે થઈ. 10 વાગ્યાથી હું એરપોર્ટ પર બેસીને મારી ફ્લાઈટની રાહ જોઈ રહ્યો છું પણ હજુ આવી નથી પછી જ્યારે કંટાળીને હું કાઉન્ટર પર વાત કરવા માટે પહોંચ્યો ત્યારે તે લોકોએ મને આવતીકાલ સવારની ટિકિટ આપી છે. હવે આજે હું ક્યા રહીશ? શું ખાઈશ તેનું કંઈ જ ઠેકાણું નથી. મારી પાસે એટલા પૈસા પણ નથી કે આજનો દિવસ હું અહીં રહી શકુ, ખબર નહીં હવે કાલ સવાર સુધીનો સમય હું કેમ કાઢીશ? જમ્મુ કાશ્મીર લગ્નમાં જવા સવારથી પરિવાર સાથે ફ્લાઈટની રાહે બેઠા છેઅન્ય એક પેસેન્જર પ્રવીણભાઈ પટેલ તેમના પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ખાતે લગ્ન પ્રસંગમાં આજે સવારે 8 વાગ્યાની ફ્લાઈટમાં જવાના હતા પરંતુ, તે ફ્લાઈટ મોડી પડી છે. સવારથી તે અમદાવાદ એરપોર્ટ પર પરિવાર સાથે આવી ગયા હતા. અહીં પહોંચ્યા બાદ તેમની ફ્લાઈટ મોડી પડી હોવાની જાણ કરવામાં આવી હતી. રિઝર્વેશન કાઉન્ટર પર તેઓએ પૂછપરછ કરી તો તેમને તેમની ફ્લાઈટ સાંજે 7:00 વાગ્યાની કરી આપવામાં આવ્યો હોવાનું કહ્યું હતું અને હજી પણ તે ફ્લાઇટ આવશે અને ઊડશે જ તે પણ નક્કી નથી. આજે તેમને લગ્નમાં પહોંચવાનું હતું પરંતુ, ફ્લાઈટ ડીલેની સમસ્યાના કારણે તે પ્રસંગમાં ઉપસ્થિત રહી શકશે નહીં. નવી ફ્લાઈટની જેને ટિકિટ આપવામાં આવી તે પણ ડીલે થઈ દેશભરમાં ઇન્ડિગો ફ્લાઇટ્સને અસર થઈ છે જેના કારણે થઈને અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદથી અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં જનારા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલથી લઈ આજે બપોર સુધીની અનેક ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. જેમની ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે તે તમામ લોકોને બીજા દિવસની અથવા જે સમયની ફ્લાઈટ હોય તે ફ્લાઈટ આપવામાં આવી રહી છે. જે લોકોને નવી ફ્લાઈટની ટિકિટ આપવામાં આવી રહી છે, તેમાં પણ અમુક ફ્લાઈટ મોડી પડી રહી છે, જેના કારણે થઈને પણ મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજે બપોર સુધી દેશભરમાં 300થી વધુ ફ્લાઇટ્સ કેન્સલગઈકાલથી લઈને આજે બપોર સુધી દેશભરમાં 300થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થતાં અમદાવાદથી મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગોવા, જમ્મુ સહિતના અનેક રૂટ પરની ફ્લાઇટ્સ કેન્સલ અથવા મોડી પડી છે. લગ્ન-પ્રસંગોમાં જતા પરિવારોથી લઈને બિઝનેસ ટ્રીપના મુસાફરો સુધી હજારો લોકો એરપોર્ટ પર જ ફસાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:39 pm

ભારત-પાક ભાગલા સમયે રાજકોટ આવેલા 267 પરિવારો પરેશાન:રેફ્યુજી કોલોનીમાં ધારાસભ્યના ઈશારે દસ્તાવેજ બંધ કરાયાનો આક્ષેપ, ડો. દર્શિતા શાહે આક્ષેપો નકાર્યા

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આવેલા લોકો વસવાટ કરી શકે તે માટે રાજકોટમાં રેફ્યુજી કોલોની બનાવવામાં આવી હતી. 70 વર્ષ પહેલા સૌ પ્રથમ આ કોલોનીમાં 99 વર્ષના ભાડા પટ્ટે જમીન આપવામાં આવી હતી. જોકે, જંકશન પ્લોટમાં રેફ્યુજી કોલોની તરીકે ઓળખાતા 267 મકાનના દસ્તાવેજ વહીવટી તંત્રએ છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી નાખ્યા છે. આઝાદી બાદ પ્રથમ વખત રેફ્યુજી કોલોનીના દસ્તાવેજ બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. કેમ કે, દસ્તાવેજ બંધ થવાથી લોકોના સામાજિક અને વ્યવહારિક કામો ઉપરાંત આર્થિક વ્યવહારો અટકી પડ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય દર્શિતા શાહના ઇશારે દસ્તાવેજ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય ડૉ. શાહે જણાવ્યું કે, તે લોકોની ખોટી રજૂઆત છે. આ કોલોનીના સ્થાનિકો તેમજ કોર્પોરેટરોની જ રજૂઆત હતી કે, અહીં કલેક્ટરની મંજૂરી વિના દસ્તાવેજો થઈ રહ્યા છે, જેથી સરકારના પરિપત્ર મૂજબ કલેક્ટરની મંજૂરી સાથેના દસ્તાવેજો થાય તેમજ ત્યાં નવો અશાંતધારો લાગૂ કરાવવાની માંગણી હતી. દસ્તાવેજો બંધ કરવાની મારી કોઈ રજૂઆત જ નહોંતી. દોઢ-બે વર્ષથી ડૉ. દર્શિતાબેનની ભલામણથી દસ્તાવેજ બંધ કરી દેવાયાઃ દિલીપ આસવાણી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણીએ જણાવ્યું હતું કે, હું પોતે રેફ્યુજી કોલોનીમાં રહું છું. 1947માં અમારા વડવાઓએ સરકાર દ્વારા આ મકાન મળેલા છે અને તેની ઇમ્પેક્ટ ડ્યુટી ભરેલી છે અને ભૂતકાળમાં દસ્તાવેજ પણ બનેલા છે. જોકે, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે અશાંતધારાની ફરિયાદ કરી દીધી અને તેથી કલેક્ટર દ્વારા દસ્તાવેજ રોકી દેવામાં આવ્યા છે. જોકે, દસ્તાવેજ બંધ કરી દેવામાં આવતા મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સરકારને વિનંતી છે કે, નિરાશ્રિત લોકોના દસ્તાવેજ તાત્કાલિક બનાવો નહિતર આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરકારે 70 વર્ષ સુધી દસ્તાવેજ કર્યા, 267 પરિવારો મુશ્કેલીમાંઃ નરેન્દ્ર કેશવાણીજ્યારે નરેન્દ્ર કેશવાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી રેફ્યુજી કોલોનીમાં રહીએ છીએ. જે તે વખતે વેચાણ દસ્તાવેજ કરીને મકાન લીધું હતું. દસ્તાવેજ એકાએક બંધ કરી દીધા, જેથી તમામ 267 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેથી મારે કલેક્ટર સાહેબને કહેવું છે કે કોના કહેવાથી તમે દસ્તાવેજ બંધ કર્યા, જે તમે જાહેર જનતાને જાણ કરો. મેં નવો અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતીઃ દર્શિતા શાહ, MLAજ્યારે આ બાબતે ધારાસભ્ય દર્શિતાબેન શાહનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, રેફ્યુજિક કોલોનીના જે સ્થાનિકો દ્વારા મારી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે. રેફ્યુજી કોલોનીના સ્થાનિકો અને ત્યાંના કોર્પોરેટરોની રજૂઆત હતી કે, અહીં 267 ક્વાટર આવેલા છે, તેમાં કલેક્ટરની મંજૂરી વિના દસ્તાવેજ થઈ રહ્યા છે જેથી સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરની મંજૂરી સાથે દસ્તાવેજ કરવામાં આવે તે જરૂરી છે. તે લોકોને પ્રશ્ન હોય તો કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:38 pm

‘સ્કૂલ-ટીચર જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે’:જૂનાગઢની પોદાર સ્કૂલની શિક્ષિકાના પતિએ મહારાષ્ટ્રથી ફોન કરી પોલીસને દોડતી કરી; ડોગ-સ્ક્વોડ સાથે ચેકિંગ, બાળકોને સલામત સ્થળે ખસેડાયાં

જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે(4 ડિસેમ્બર) બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. કોલ કરનારે દાવો કર્યો હતો કે સ્કૂલની એક મહિલા ટીચર જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને જો બપોરે 2 વાગ્યા સુધીમાં બાળકોને સલામત સ્થળે ખસેડવામાં નહીં આવે તો તેમને નુકસાન થઈ શકે છે. બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આ કોલ મળતાની સાથે જ જૂનાગઢ પોલીસનું સમગ્ર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને સ્કૂલ તરફ દોડ્યું હતું. પોલીસે બાળકોને સલામત ગ્રાઉન્ડમાં ખસેડ્યાગંભીરતાને પારખીને જૂનાગઢ તાલુકા પોલીસ અને અન્ય પોલીસ ટીમો ડોગ સ્કવોડ સાથે તાત્કાલિક પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે પહોંચી હતી. સૌથી પહેલા બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં ડરનો માહોલ ઊભો ન થાય તે માટે સાવચેતીપૂર્વક કામગીરી શરૂ કરવામાં આવી. પોલીસે સ્કૂલ સંચાલકોના સહયોગથી બાળકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે રીતે વર્ગખંડોમાંથી બહાર કાઢીને સ્કૂલના ગ્રાઉન્ડમાં સલામત સ્થળે ખસેડ્યા હતા. ચેકિંગમાં કોઈ શંકાશીલ વસ્તુ મળી નહીંત્યારબાદ પોદાર સ્કૂલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસે તમામ રૂમ અને પરિસરને ચકાસ્યો હતો, પરંતુ કોઈ પણ જોખમકારક કે શંકાશીલ વસ્તુ અથવા પદાર્થ પોલીસને હાથ લાગ્યો નહોતો. અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પત્ની જોડે ઝઘડો થતાં પતિએ મહારાષ્ટ્રથી ખોટો ધમકીભર્યો કોલ કર્યોઆ સમગ્ર મામલે જૂનાગઢના ગ્રામ્ય ડિવિઝનના DYSP રવિરાજસિંહ પરમાર સાથે વાત કરતા હકીકત સામે આવી હતી. DYSP પરમારે જણાવ્યું કે, કંટ્રોલ રૂમમાં જે અજાણ્યા વ્યક્તિએ કોલ કર્યો હતો, તે વ્યક્તિ મહારાષ્ટ્રનો રહેવાસી છે. કોલ કરનાર વ્યક્તિની પત્ની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. છેલ્લા ઘણા સમયથી આ પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. પારિવારિક ઝઘડાના કારણે રોષે ભરાયેલા પતિએ મહારાષ્ટ્રથી જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં આવો ધમકીભર્યો અને ખોટો કોલ કર્યો હતો. મહિલા ટીચરે પણ પતિ સાથેના ઝઘડાની વાત સ્વીકારીઆ મામલે સ્કૂલના મહિલા ટીચર સાથે વાત કરવામાં આવતા, તેમણે પણ પતિ સાથે ઝઘડો ચાલતો હોવાની વાત સ્વીકારી હતી અને તેમના દ્વારા જ આવો ખોટો કોલ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે હવે કોલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે. પ્રિન્સિપાલને સમગ્ર મામલાની જાણ મીડિયા દ્વારા થઈબીજી તરફ, આ ઘટના અંગે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ વિનય ઉપાધ્યાય સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે આ મામલે એક અલગ જ નિવેદન આપ્યું હતું. પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેમને પતિ-પત્નીના ઝઘડા કે કંટ્રોલ રૂમમાં આવેલા કોલની કોઈ જાણ નહોતી. તેમને આ સમગ્ર મામલાની જાણ મીડિયા દ્વારા પૂછવામાં આવતા થઈ. મોકડ્રિલ થઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવોપ્રિન્સિપાલે દાવો કર્યો કે, પોલીસ દ્વારા સ્કૂલમાં આવેલો કાફલો હકીકતમાં એક 'મોકડ્રિલ' નો ભાગ હતો. તેમણે કહ્યું કે બાળકોમાં, શિક્ષકોમાં અને વાલીઓમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી આ મોકડ્રિલ આજે અહીં યોજાઈ હતી, જેમાં બાળકોને સલામત રીતે ગ્રાઉન્ડમાં ખસેડવામાં આવ્યા હતા. કંટ્રોલ રૂમમાં આવેલા કોલના આધારે જ સાવચેતીપૂર્વક ચેકિંગ હાથ ધર્યું: DYSPજોકે, DYSP રવિરાજસિંહ પરમારે પુષ્ટિ કરી કે, કંટ્રોલ રૂમમાં આવેલા કોલના આધારે જ સાવચેતીપૂર્વક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં ખોટો ફફડાટ કે ભયનો માહોલ ન ફેલાય. અંતે કોઈ શંકાશીલ પદાર્થ મળ્યો નહોતો.કાયદાકીય દ્રષ્ટિએ, ખોટો ધમકીભર્યો કોલ કરવો એ ગંભીર ગુનો છે અને પોલીસે હવે મહારાષ્ટ્રના આ વ્યક્તિ વિરુદ્ધ કડક પગલાં લેવા કાર્યવાહી હાથ ધરી છે. 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છેઉલ્લેખનીય છે કે જૂનાગઢ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ઇંગ્લીશ મીડીયમમાં 1000થી વધુ બાળકો અભ્યાસ કરે છે અને ભારતભરના અલગ અલગ રાજ્યોના શિક્ષકો અહીં ભણાવે છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઘણા અધિકારીઓ ,પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓના બાળકો અભ્યાસ માટે આવે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:37 pm

ભરૂચ LCB એ 44.12 લાખનો દારૂ ઝડપ્યો:નબીપુર હાઇવે પરથી એક આરોપીની ધરપકડ, ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹44.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રીલીફ હોટલ પાસેથી એક આઇસર ટ્રક (MH-14-LX-6769) માંથી પ્લાસ્ટિકના કેરેટોમાં છુપાવેલી 12,312 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે એક આરોપી સુનીલ મુરલીધર નવરેની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા અને હાઇવે પર ચુસ્ત પેટ્રોલિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાએ ટીમો ગોઠવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વિશ્વસનીય બાતમીના આધારે પો.સ.ઈ. ડી.એ. તુવરની ટીમે નબીપુર હાઇવે નજીક વોચ ગોઠવી હતી.તપાસ દરમિયાન, ટ્રકમાંથી ₹34,02,000ની કિંમતની 12,312 વિદેશી દારૂની બોટલ/ટીન,₹10,000નો એક મોબાઇલ ફોન અને ₹10,00,000ની આઇસર ટ્રક સહિત કુલ ₹44,12,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંજય જોરાભાઈ દેસાઈ (રહે. વેડ રોડ, સુરત), અનીકેત પાટીલ (રહે. નાસિક) અને ટ્રક ડ્રાઈવર (નામ અજાણ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:17 pm

પત્ની સામે પતિને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ:'પપ્પા હું આ લોકોથી ખૂબ પરેશાન થઈ ગયો છું, તો મરી જાઉં છું', પિતાને મેસેજ કરી પુત્રએ ગળેફાંસો ખાધો

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા પરિણીત યુવકની પત્ની ખોટી રીતે ઝઘડા કરીને પિયર જતી રહેતી હતી. આ ઉપરાંત પત્નીના અન્ય પુરુષ સાથેના અને તે સંબંધો બાબતે જાણ થતા પત્નીએ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેથી પુત્રએ પિતાને મેસેજ કર્યો હતો કે, 'પપ્પા હું આ લોકોથી ખૂબ પરેશાન થઈ ગયો છું, તો મરી જાઉં છું. મુસ્કાન અને એના મમ્મી પપ્પા મને ખૂબ હેરાન કરે છે, તો મરી.જાઉં છું' પત્નીથી કંટાળી પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે આપઘાતના દોઢ મહિના બાદ મકરપુરા પોલીસે પત્ની સામે પતિને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી દેસાઈ કોલોનીમાં રહેતા દાઉદભાઈ રસુલભાઈ બેલીન એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા દીકરા સઈદના લગ્ન યુસૂફભાઈ પરમારની દીકરી મુસ્કાન સાથે સમાજના રીતરિવાજ મુજબ વર્ષ 2020માં થયા હતા. મારા દીકરાના લગ્ન જીવન દરમ્યાન 3 વર્ષની દીકરી છે. લગ્ન બાદથી જ મારા દીકરા સઇદ તથા તેની પત્ની મુસ્કાન વચ્ચે અવારનવાર નાની મોટી વાતે ઝઘડા થતાં હતા અને મારા દીકરાની પત્ની મુસ્કાન તેના પિયર જતી રહેતી હતી અને મારા દીકરા સઇદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા પોલીસ સ્ટેશન કારેલીબાગ ખાતે અરજી કરી હતી, જે બાબતે મારા દિકરા સાથે અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું. મારા દીકરા સઇદની વહુ મુસ્કાન પર પુરુષ સાથે અનૈતિક સંબંધ રાખતી હતી અને અવાર નવાર તેની સાથે ફોનથી વાતચીત કરતી હતી, જેની જાણ મારા દીકરા સઇદને થતાં મારો દીકરો ટેન્શનમાં રહેતો હતો અને મુસ્કાનના પરપુરુષ સાથેના અનૈતિક સંબંધ બાબતે મારી વહુ મુસ્કાનને કહેવા જતાં તે મારા દીકરા સઇદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. જે બાદ 19 સપ્ટેમ્બર- 2025ના રોજ હું મારી નોકરી માણેજા ખાતે નોકરી ઉપર હાજર હતો તથા મારી પત્ની સહેનાઝ સવારના 11.30 વાગે મારા મોટાભાઈના દીકરાની ખબર કાઢવા આશીર્વાદ હોસ્પિટલ તુલસીધામ ચાર રસ્તા માંજલપુર ખાતે ગયેલ હતી. તે વખતે ઘરે મારી દીકરી સઇદ તથા તેની પત્ની મુસ્કાન હાજર હતા. બપોર સમયે મારા દીકરાએ મને વોટ્સએપમાં મેસેજ કર્યો હતો કે, પપ્પા હું આ લોકોથી ખૂબ પરેશાન થઈ ગયો છું, તો મરી જાઉં છું. મુસ્કાન અને એના મમ્મી પપ્પા મને ખૂબ હેરાન કરે છે, તો મરી.જાઉં છું. જેથી મે તાત્કાલિક મારા દીકરા સઇદના ફોનમાં ફોન કરેલ પરંતુ તેણે ફોન ઉઠાવ્યો ન હતો. થોડીવાર બાદ મારા ફોનમાં મારા ભત્રીજા સાહરૂખ બેલીમનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કાકા સઇદે ઘરે ગળેફાંસો ખાઈ લીધો છે. અમે તેને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જઈએ છીએ તમે તત્કાલિક હોસ્પિટલ આવી જાઓ. જેથી હું તાત્કાલિક હોસ્પિટલ ખાતે ગયો હતો. જ્યાં જઈ જોતાં મારો દીકરો સઈદ મરણ ગયેલ હતો. આ મામલે મેં મુસ્કાન સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:15 pm

કટારીયા ચોકડીએ વાહન વ્યવહાર બંધ:રાજકોટમાં રૂ. 167 કરોડનાં ખર્ચે બનતા આઇકોનીક બ્રિજના કામને લઈ તમામ માર્ગો બંધ, ટ્રાફિક ડાયવર્ઝન રૂટ અમલમાં મુકાયો, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કટારીયા ચોકડી ખાતે શહેરનો સૌપ્રથમ થ્રીલેયર આઇકોનીક ઓવરબ્રીજ અને અન્ડરબ્રીજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને હાલ વાહનવ્યવહારને લગતા તમામ મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે. શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આ બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે, જેને પગલે જાહેર જનતાની સુવિધા અને ટ્રાફિકની જાળવણી માટે તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાઈવર્ઝન રૂટ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કર્યો છે. કટારીયા ચોકડી પરના મુખ્ય માર્ગો બંધ બ્રિજના બાંધકામની કામગીરી શરૂ થવાથી કટારીયા ચોકડીનું મુખ્ય કેન્દ્રબિંદુ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે અહીંના મુખ્ય માર્ગોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. ગોંડલ રોડ તરફથી જામનગર રોડ તરફ જતો રીંગ રોડ તેમજ જામનગર રોડ તરફથી ગોંડલ રોડ તરફ આવતો રીંગ રોડ એમ બંને દિશાઓનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ રિંગ રોડ રાજકોટ શહેરના પૂર્વીય અને પશ્ચિમી છેડાને જોડતો મુખ્ય ધમની સમાન હોવાથી આ ડાયવર્ઝન ઘણું મહત્વનું બની રહે છે. શહેર તરફનાં પ્રવેશ અને નિકાસ માટે કાલાવડ તરફથી રાજકોટ શહેર તરફ આવવા-જવાનો રસ્તો અને શહેર તરફથી કાલાવડ આવવા-જવાનો માર્ગ પણ બાંધકામને કારણે બંધ રાખવામાં આવ્યો છે. આ રસ્તો શહેરના આંતરિક વિસ્તાર તેમજ કાલાવડ રોડ હાઈવેને જોડતો હોવાથી હજારો વાહનચાલકોને અસર થશે. રાજકોટ મહાનગરપાલિકાએ જનવ્યય છે કે આ તમામ રસ્તાઓ બ્રિજનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. આ બ્રીજનાં નિર્માણ કાર્યમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે આ પગલું લેવું જરૂરી હોવાથી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વાહનચાલકો માટે ખાસ ડાયવર્ઝન રૂટ અમલમાં 1. રાજકોટ શહેરથી કાલાવડ તરફ આવવા-જવા માટે રાજકોટ શહેર તરફથી કાલાવડ તરફ જવા માંગતા વાહનચાલકો માટે નીચેનો માર્ગ સૂચવવામાં આવ્યો છે. આ રૂટ શહેરના આંતરિક વિસ્તારોમાંથી પસાર થઈને કાલાવડ રોડ પર પરત જોડાણ પૂરું પાડે છે. વાહનચાલકોએ કાલાવડ રોડથી કોરાટવાડી મેઈન રોડ તરફ જઈને ત્યાંથી ધ વાઇબવાળા રસ્તા તરફ વળવું પડશે. ત્યારબાદ આ રસ્તો 150 ફૂટ રીંગ રોડ-2 સાથે જોડાશે. 150 ફૂટ રીંગ રોડ-2 પરથી આગળ વધીને પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ પાસેથી પસાર થવું. અંતે, જીનીયશ સ્કૂલવાળા રસ્તા થઈને વાહનચાલકો ફરીથી તેમના ગંતવ્ય સ્થાન તરફ કાલાવડ રોડ પર જઈ શકશે. 2. કાલાવડથી રાજકોટ શહેર તરફ આવવા-જવા માટે કાલાવડ તરફથી રાજકોટ શહેર આવતા વાહનચાલકો માટે આ રૂટ મહત્ત્વનો છે, જે શહેરના પશ્ચિમ ભાગમાંથી પ્રવેશની વ્યવસ્થા પૂરી પાડે છે. વાહનચાલકોએ કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા આવતા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તા તરફ વળવું પડશે. આ રસ્તા પરથી આગળ વધીને કોસ્મોપ્લેક્સ સિનેમા થઈને 150 ફૂટ રીંગ રોડ-2 પર પહોંચવાનું રહેશે. 150 ફૂટ રીંગ રોડ-2 પર આવ્યા બાદ એલેકઝીર રોડ તરફ આગળ વધવું. છેલ્લે, ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તા થઈને વાહનચાલકો ફરીથી કાલાવડ રોડ ઉપર આવી શકશે, જે શહેરના આંતરિક માર્ગો સાથે જોડાશે. 3. 150 ફૂટ રીંગ રોડ-2, ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ આવવા-જવા માટે રીંગ રોડ પર ગોંડલ ચોકડી તરફથી જામનગર રોડ તરફ મુસાફરી કરનારા વાહનો માટે આ એક લાંબો ડાયવર્ઝન રૂટ છે. જેમાં મુસાફરીની શરૂઆત એક્વાકોરલ પાસેથી કરીને પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ તરફ જવું. ત્યાંથી જીનીયશ સ્કૂલ થઈને વાહનોને કાલાવડ રોડ તરફ વાળવામાં આવશે. કાલાવડ રોડ પરથી આગળ વધીને કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તા તરફ વળવું. ત્યારબાદ કોન્પ્લેક્સ સિનેમા થઈને વાહનચાલકો ફરીથી તેમના માર્ગ એટલે કે 150 ફૂટ રીંગ રોડ-2 પર જામનગર રોડ તરફ જઈ શકશે. 4. 150 ફૂટ રીંગ રોડ-2, જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે વાહનચાલકોએ 150 ફૂટ રીંગ રોડ-2 પરથી એલેકઝીર રોડ તરફ જવું પડશે. એલેકઝીર રોડ પરથી આગળ વધીને ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તા તરફ વળવું. ત્યારબાદ આ રસ્તો કાલાવડ રોડ સાથે જોડાશે. કાલાવડ રોડ પરથી વાહનોએ કોરાટવાડી મેઈન રોડ તરફ અને પછી ધ વાઇબ રોડ તરફ જવું પડશે. અંતે, આ રૂટ ફરીથી 150 ફૂટ રીંગ રોડ-2 સાથે જોડાશે, જ્યાંથી વાહનચાલકો ગોંડલ રોડ તરફ આગળ વધી શકશે. મહાનગરપાલિકાએ તમામ વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આ ડાયવર્ઝન રૂટનું ચુસ્તપણે પાલન કરે. બ્રિજનું નિર્માણ કાર્ય શહેરના લાંબા ગાળાના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ હોવાથી, નાગરિકોના સહકારથી આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થઈ શકશે. વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરીની શરૂઆત કરતા પહેલા પોતાના વૈકલ્પિક રૂટની યોજના બનાવી લે, જેથી સમયનો બગાડ ટાળી શકાય અને ટ્રાફિક માટેની કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં. ઉલ્લેખનીય છે કે, કટારીયા ચોકડીનો આ બ્રિજ પૂર્ણ થતાંની સાથે જ ગોંડલ રોડ અને જામનગર રોડ તરફના રીંગ રોડ પરના ટ્રાફિકની સમસ્યામાં ઘણો ઘટાડો થશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે. આ સમયગાળા દરમિયાન, લોકોએ મહાનગરપાલિકાના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. કોઈપણ પ્રકારની ગેરસમજણ કે મુશ્કેલીના નિવારણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:05 pm

બહુચરાજીમાં 'શુદ્ધ ખોરાક' માટે ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ:17 પેઢીઓની તપાસ કરી, 9 ખાદ્યસામગ્રી સહિત 12 નમૂના લેવાયા

મહેસાણા ફુડ અને ડ્રગ્સ વિભાગે જિલ્લામાં આવેલા બહુચરાજી યાત્રાધામમાં યાત્રિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત સઘન તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા બહુચરાજી વિસ્તારની કુલ 17 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને ફૂડ સેફ્ટી અને ગુણવત્તા ચકાસણી માટે કુલ 12 નમૂનાઓ લેવામાં આવ્યા છે. ફુડ વિભાગની ટીમ રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસ, પાણેપુરી લારી, હોકર્સ, અને પ્રસાદ સ્ટોર્સ સહિતના સ્થળોની સતત તપાસ કરી હતી. જેથી યાત્રીઓને શુદ્ધ, સાત્વિક અને હાઈજેનિક કન્ડિશનમાં ખોરાક મળી રહે. આ તપાસ અભિયાનના ભાગરૂપે, એફ.એસ.ડબ્લ્યુ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા પણ અગાઉ 20 નવેમ્બર 2025ના રોજ તમામ પ્રસાદ સ્ટોર્સની તપાસ કરીને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ કરી પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. કઈ હોટેલોમાં તપાસ કરાઈ અને કયા નમૂના લેવાયાતપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મુખ્ય ત્રણ હોટેલોમાંથી ખાદ્યસામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં, ફુડ વિભાગની આ કાર્યવાહી યાત્રાધામમાં આવતા લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું છે. લેવાયેલા તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 3:56 pm

સુરતમાં બ્રિજ પરથી નદીમાં ઝંપલાવા જતી મહિલાને પોલીસે બચાવી:કહ્યું - દીકરાઓને મેં જન્મ આવ્યો પરંતુ ઘરમાં પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારા દીકરા મારી તરફેણ કરતા નથી

પતિ સાથેના ઝઘડામાં સંતાનો પોતાનો નહીં પરંતુ પતિની તરફેણ કરતા હોવાથી માઠું લાગી આવતા અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા તાપી નદીના કતારગામ-અમરોલી પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહી હતી. પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની નજર પડતા તુરંત જ ઘસી જઈ મહિલાનો હાથ પકડી નદીમાં ઝંપલાવતા અટકાવી જીવન દાન આપ્યું હતું. આધેડ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, દીકરાઓને મેં જન્મ આવ્યો પરંતુ ઘરમાં પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારા દીકરા મારી તરફેણ કરતા નથી. અમરોલી પોલીસ સ્ટેશનના પો.કો. હરીભાઇ જીવણભાઇ આજ રોજ બપોરના અરસામાં પુત્રી સાથે બાઇક ઉપર ખરીદી કરવા જઈ રહ્યા હતા. દરમિયાનમાં અમરોલી-કતારગામ તાપી નદીના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 52 વર્ષની મહિલાને પુલની પેરાફીટ કુદી તાપી નદીમાં ઝંપલાવવા પ્રયાસ કરવા જઈ રહ્યા હોવાથી તુરંત જ બાઇક પાર્ક કરી આધેડ મહિલાનો હાથ પકડી નદીમાં ઝંપલાવતા અટકાવ્યા હતા. રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું અને મહિલાને તુરંત જ અમરેલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. જયાં પોલીસ સ્ટેશનની સી ટીમના એએસઆઈ ક્રિષ્નાબેન પ્રદીપભાઈએ મહિલાનું કાઉસલીંગ કર્યું હતું. જે અંતર્ગત તેણીએ જણાવ્યું હતું કે મારા દીકરાઓને મેં જન્મ આવ્યો પરંતુ ઘરમાં પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારા દીકરા મારી તરફેણ કરતા નથી અને હંમેશા તેમના પિતાની તરફેણ કરે છે. આધેડ મહિલા પારિવારીક કલેશથી કંટાળી આપઘાત કરવા જઈ રહી હતી. જો કે સી ટીમે મહિલાની વેદના સાંભળ્યા બાદ કાઉન્સિલીંગ કરવાની સાથે બીજી વખત આવું પગલું નહીં ભરે તે અંગેની બાંહેધરી મેળવી હતી. આ સાથે જ પરિવારને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યું હતું અને તેમને પણ સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાને પરિવારને હવાલે કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 3:06 pm

જંબુસરમાં પોલીસકર્મી સામે ACB એ લાંચનો ગુનો નોંધ્યો:અરજદારને હેરાન ન કરવા ₹75,000ની માંગણી કરી હતી

ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ACB પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિગતો અનુસાર, નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરી રહ્યા હતા. આ તપાસમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલાંમાં રાહત આપવા માટે આરોપીએ પ્રથમ ₹70,000 અને પછી પતાવટ પેટે ₹5,000 એમ કુલ ₹75,000ની લાંચ માંગી હતી. ફરિયાદ મુજબ, લાંચની માંગણી જંબુસરની “ભાટીયા મોબાઈલ” દુકાન નજીક અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી. આ ઘટના આરોપી દ્વારા ગેરકાયદેસર લાભ મેળવવાના ઇરાદાથી કરવામાં આવેલી ગેરવર્તણૂક દર્શાવે છે. આ મામલે વડોદરા શહેર ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ તપાસ કરી રહ્યા છે. સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર.આર. ચૌધરી (ACB, સુરત એકમ)ના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:54 pm

શ્રી જ્ઞાનસાર ગ્રંથનું શંખેશ્વર ખાતે વિમોચન:ભારતમાં પ્રથમવાર મલ્ટી-કલર, 3 ભાષામાં જૈન ગ્રંથ પ્રકાશન

'જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા' ગ્રંથનું વિમોચન શંખેશ્વર મહાતીર્થના જહાજ મંદિર એન્કરવાલા ધામમાં કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષ મહેતા દ્વારા તૈયાર કરાયેલો આ ગ્રંથ ભારતમાં પ્રથમવાર મલ્ટી-કલર અને ત્રણ ભાષામાં પ્રકાશિત થયો છે. આ વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજના 50મા દીક્ષા દિન નિમિત્તે થયું હતું. વિમોચન પ્રસંગે અર્હદ મહાપૂજન અંતર્ગત વરિષ્ઠ મુનિ પુણ્યરત્ન મહારાજ સાહેબ, મુનિ નયશેખર મહારાજ સાહેબ, તેમજ સાધ્વી સુનંદિતાશ્રીજી મ.સા., સાધ્વી કૃતિનંદિતા શ્રીજી મ.સા., સાધ્વી અર્હમનંદિતા શ્રીજી મ.સા., અને સાધ્વી અમિવર્ષાશ્રીજી મ.સા. સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આશિષ મહેતા દ્વારા પ્રકાશિત આ ગ્રંથ મુનિરાજ નયશેખર મહારાજ સાહેબને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથ 350 વર્ષ પૂર્વે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજની અનુભૂતિની અમૃતવાણી પર આધારિત છે. 'જ્ઞાનસાર: એક અધ્યાત્મગીતા' ષડ્‌દર્શન શાસ્ત્રવેત્તાની રચના છે, જેનું વાંચન અને શ્રવણ આત્મિક આનંદની અનુભૂતિ કરાવી પૂર્ણાનંદની અવસ્થા સુધી પહોંચાડે છે. આ ગ્રંથ મલ્ટી-કલરમાં તૈયાર કરાયો છે અને તેમાં 32 અષ્ટકનું બત્રીશી રૂપે ગુજરાતી અને હિન્દીમાં મહાગાન કરાયું છે. આશિષ મહેતાએ જ્ઞાનસારના શબ્દોમાં સમાયેલા ભક્તિ, શ્રદ્ધા, સાધના અને શરણાગતિના ભાવને સ્વરબદ્ધ કરીને આ અધ્યાત્મગીતા તૈયાર કરી છે. આશિષ મહેતા જાણીતા સ્વરકાર, સંગીતકાર, લેખક, સંકલનકાર અને વક્તા છે. તેમણે દેશ-વિદેશમાં પોતાના ભક્તિ સંગીત થકી સ્વરની સુગંધ પ્રસરાવી છે. તેઓ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો અને પરંપરાને જાળવીને નવા સમયને અનુરૂપ પ્રસ્તુતિઓ માટે જાણીતા છે. તેમનો પ્રિય વિષય પરમાત્માના 5 કલ્યાણકોની ભક્તિસભર સંગીતમય પ્રસ્તુતિ 'અંજનશલાકા' છે. 'જ્ઞાનસાર: એક અધ્યાત્મગીતા' ગ્રંથ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે. આ ગ્રંથ 730 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે. જૈન સમાજના તમામ ગ્રંથોનો નિચોડ ધરાવતો આ ગ્રંથ પહેલીવાર 4 મલ્ટી-કલરમાં અને 3 ભાષામાં લખાયો છે, જે હવે ડિજિટલાઇઝેશન સાથે શ્રાવકો સુધી પહોંચશે. વિમોચન પ્રસંગે મુંબઈ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી ગુરુભક્તો, સામાજિક-આધ્યાત્મિક અગ્રણીઓ અને પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:46 pm

કરમસદ સંતરામ મંદિરમાં સાકરવર્ષા ઉત્સવ ઉજવાયો:સંતોએ સાકર-કોપરાનો પ્રસાદ ઉછાળ્યો, ભક્તોએ ધન્યતા અનુભવી

કરમસદના સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે માગશર સુદ પૂનમના દિવસે સાકરવર્ષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ સ્થિત સંતરામ મંદિરના નવ ગાદીપીઠમાંથી એક એવા આ મંદિરમાં સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંદિર ખાતે સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રદ્ધા અને આનંદભેર સાકર તથા કોપરાના પ્રસાદની ઉછામણી કરી હતી. ઉત્સવના ભાગરૂપે સવારે 9 કલાકે સંતોની વિશેષ ઉપસ્થિતિમાં પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 12 કલાકે દિવ્ય આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ સંતોના હસ્તે સાકરવર્ષા કરવામાં આવી હતી. આ સમયે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ સાકરનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુ રૂપલબેને જણાવ્યું હતું કે, તેઓ નડિયાદથી છેલ્લા દસ વર્ષથી કરમસદ સંતરામ મંદિરમાં સાકરવર્ષા માટે આવે છે. આ સાકરવર્ષાનો લ્હાવો દરેક ભક્તે લેવો જોઈએ. અહીંથી મળેલ સાકર અને કોપરાનો પ્રસાદ ઘરે લઈ જઈને શુભ કાર્યોમાં ઉપયોગ કરવાથી તે કાર્ય ચોક્કસપણે પૂર્ણ થાય છે તેવી માન્યતા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:44 pm

વલસાડમાં કોંગ્રેસની કારોબારી બેઠક:દક્ષિણ ગુજરાતમાં 'જન આક્રોશ યાત્રા' અને 2027માં સત્તાનો હુંકાર

વલસાડમાં કોંગ્રેસ પક્ષની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. પક્ષે 2027માં ગુજરાતમાં અને 2029માં કેન્દ્રમાં સત્તા પર પાછા ફરવાનો હુંકાર કર્યો હતો. બેઠકમાં દક્ષિણ ગુજરાતમાં 'જન આક્રોશ યાત્રા' શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ લાવવાનો અને સંગઠનને મજબૂત બનાવવાનો છે. આયોજન મુજબ, દિલ્હીમાં યોજાનારી 'વોટ ચોર, ગાદી છોડ' રેલીના આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી. પક્ષે દક્ષિણ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા બ્લોક પ્રમુખો અને હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરી. SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે તારીખ 4 થી બદલાઈને 11 થઈ હોવાની માહિતી અપાઈ હતી. બૂથ લેવલે કામગીરી મજબૂત કરવા અને BLO-2 ની રચના કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નેતાઓએ સંગઠનના હોદ્દેદારોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે કામગીરીનું મૂલ્યાંકન (Accountability) થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અહીં લગ્નનો ઘોડો નહીં, રેસનો ઘોડો જોઈએ. જે કાર્યકર કામ નહીં કરે તેમના સ્થાને બીજાને તક આપવામાં આવશે. પક્ષનું લક્ષ્ય 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનું અને 2029માં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનું છે. મીડિયા સાથે વાત કરતા, કોંગ્રેસના નેતાઓએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પાક વીમાની જાહેરાતો છતાં ખેડૂતોને એક રૂપિયો પણ મળ્યો નથી, જેના કારણે તેમની દુર્દશા યથાવત છે. વધુમાં, રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ અને ભ્રષ્ટાચારમાં વધારો થયો હોવાનો આક્ષેપ કરાયો હતો. ડોલર સામે રૂપિયાના ગગડતા મૂલ્ય (90 સુધી પહોંચી ગયું) પર પણ ટીકા કરવામાં આવી, જ્યારે ભૂતકાળમાં ભાજપ આ મુદ્દે ટીકા કરતું હતું તે હવે મૌન છે. યુવાનો ડિગ્રીઓ લઈને પણ 10-15 હજારની નોકરી માટે અન્ય રાજ્યોમાં જવા મજબૂર બન્યા હોવાથી બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. સંસદમાં સત્તાધારી પક્ષ દ્વારા ચર્ચા થવા દેવામાં આવતી નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:41 pm

નવા ફ્લાયઓવર પર ST બસો નહીં દોડે:જામનગરના ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પર 3 સ્ટોપ જાહેર કરાયા

જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર નવો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક પણ બસ આ નવા બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ST બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે. શહેરીજનોને ST બસ સેવાનો લાભ મળી રહે તે માટે ત્રણ નવા સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે. જામનગરના ST ડેપોથી રાજકોટ તરફ જતી બસો માટે જૂના રેલવે સ્ટેશન (અંબર ચોકડી), કાલાવડ તરફ જતા સાત રસ્તા ચોકડી અને હાલાર હાઉસથી આગળ એમ કુલ ત્રણ જગ્યાએ સ્ટોપ અપાશે. આ નિર્ધારિત સ્ટોપ પર મુસાફરોને બસમાં ચડાવવા અને ઉતારવા બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતી બસો માટે સુરેશ ફરસાણ માર્ટથી આગળ જૂના રેલવે સ્ટેશન અને સાત રસ્તા સર્કલ પાસે મુસાફરોની સુવિધા ઉપલબ્ધ રહેશે. અગાઉ સુભાષ બ્રિજ પાસે રોડની પહોળાઈ ઓછી હોવાથી અને બસ ઊભી રાખવાથી ટ્રાફિકની સમસ્યા થતી હતી. આ કારણે ગુરુદ્વારા અને સુભાષ બ્રિજ પાસેના જૂના પોઈન્ટ રદ કરવામાં આવ્યા છે. તેના બદલે, રાજપાર્ક પાસે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર અને વોલ્વો સહિતની તમામ પ્રકારની બસોનું સંચાલન આ નવા રૂટ પરથી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:37 pm

ભરૂચમાં વીજ કરંટથી મોરનું મોત:વન વિભાગે પોસ્ટમોર્ટમ બાદ અંતિમ વિધિ કરી

ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક વીજ કરંટ લાગવાથી એક મોરનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ શહેરના જે.બી. પાર્ક વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક એક મોર ફરી રહ્યો હતો. તે દરમિયાન મોર એક વીજ પોલ પર ચડી ગયો હતો અને અકસ્માતે વીજ તારને સ્પર્શ થતાં તેને કરંટ લાગ્યો હતો, જેના કારણે તે પોલ પરથી નીચે પડી ગયો હતો. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ભરૂચ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ રાઉન્ડ ફોરેસ્ટર હેમંત યાદવ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વીજ કંપનીની મદદથી મોરને નીચે ઉતારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોરનું મોત નિશ્ચિત થતાં સ્થળ પર જ પંચનામું કરવામાં આવ્યું હતું. આરએફઓ એમ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ મોરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નીલકંઠેશ્વર નર્સરી ખાતે વિધિવત રીતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. વન વિભાગે આ સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:35 pm

અનાવાડામાં હરિઓમ ગૌ શાળાના લાભાર્થે ભાગવત કથા:ચોથા દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી

પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી આ કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી હતી. આ ભાગવત કથા 7 ડિસેમ્બર સુધી ચાલશે. છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો સહિત લોકો કથા શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા છે. ચોથા દિવસે અધ્યક્ષ શંકર ચૌધરી સાથે હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે શંકર ચૌધરીએ ગૌ માતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાયનું દરેક અંગ માનવ અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે. ગૌમૂત્ર અને વૃક્ષો દ્વારા જમીનની ફળદ્રુપતા વધે છે, જેનાથી તૈયાર થયેલા ફળ, ફૂલ અને શાકભાજી માનવ તથા જીવ સૃષ્ટિનો આહાર બને છે. અધ્યક્ષ ચૌધરીએ ગૌ માતાના પાલન માટે જાગૃતિ લાવવાના આ મહા અભિયાનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગાયના દૂધ ઉપરાંત તેના જીવનની દરેક વસ્તુને માનવ અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી ગણાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:33 pm

કચ્છમાં 10 ગાયોને 8 કલાકમાં કૃત્રિમ પગ બેસાડ્યા:બિદડા સર્વોદય ટ્રસ્ટે ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં જીવદયાનું એક પ્રેરણાદાયક કાર્ય થયું છે. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જયા રીહેબીલીટેશન ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા 8 કલાકના વિક્રમી સમયગાળામાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડી 'ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ' બનાવવામાં આવ્યો છે. આ વિશેષ સેવા કાર્યક્રમ અંજાર સહિત તાલુકાના ગામડાઓમાં અપંગ બનેલા પશુઓ માટે આયોજિત કરાયો હતો. ગંભીર ઇજા અથવા અપંગતાને કારણે ચાલી ન શકતી 10 ગાયો સહિત અન્ય પશુઓને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ અત્યાધુનિક કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યા હતા. આ પ્રયાસથી લાચાર ગાયોને ફરીથી પોતાના પગ પર ઊભા થવાની અને સામાન્ય જીવન જીવવાની તક મળી છે. આ કામગીરીની સૌથી મોટી સિદ્ધિ તેની ઝડપ હતી. માત્ર આઠ કલાકમાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડવાની જટિલ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ અસાધારણ પ્રયાસ બદલ સંસ્થાને ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ (OWR)નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે, જે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ સમગ્ર કામગીરી સંસ્થાના ચેરમેન વિજય ચેડાં કુબલ અને ડિરેક્ટર મુકેશ દોશી, હેમંત મેનિયાના સચોટ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પૂર્ણ થઈ હતી. OWR તરફથી તેમને આ સિદ્ધિ બદલ સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા માનવ સ્વાસ્થ્ય સેવા સાથે પશુઓ પ્રત્યે દર્શાવવામાં આવેલી આ જીવદયાની ભાવનાને કારણે સમગ્ર પંથકના જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:30 pm

ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાની ધમકી:ધમકીભર્યો ઈ-મેઈલ મળતા બોમ્બ અને ડોગ સ્ક્વોડ પહોંચી, કોર્ટનું કામ રાબેતા મુજબ ચાલુ

ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકીભર્યો ઈમેઈલ મળતા દોડધામ મચી છે. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્કવોડ હાઈકોર્ટ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ત્યારે જ હાઈકોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળ્ય હોવાનું સામે આવ્યું છે. હાલ બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમ હાઈકોર્ટ પહોંચી છે. તો બીજી તરફ હાઈકોર્ટનું કામ રાબેતા મુજબ ચાલુ છે. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:30 pm

અમદાવાદમાં આવતીકાલથી શોપિંગ ફેસ્ટિવલ:ખરીદી પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ, 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12 હોટસ્પોટ ઝોન બનાવાયા; સ્થળ પર જવા AMTS-BRTSની નિઃશુલ્ક સુવિધા

ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26નું આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટસ્પોટ ઝોન બનાવવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરીયા–રામબાગ રોડ, વાસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લૉ ગાર્ડન, મણેકચોક તથા શહેરના અગ્રણી મોલ્સમાં શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમો યોજાશે. 5 ડિસેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવશે. આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં 8000થી વધુ વેપારીઓ જોડાયામ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં 8000થી વધુ વેપારીઓ જોડાયા છે, જેમાં રિટેલ સ્ટોર્સ, મોલ્સ, MSMEs, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કારીગરો અને પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પણ શોપિંગ ફેસ્ટિવલને લઈને જાહેરાત કરવામાં આવી છે જેનું કાઉન્ટર પણ ત્યાં રાખવામાં આવશે. વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રાપુર ખાતેનું સ્વદેશી મોલ, કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રદર્શન અને સ્થાનિક કારીગરોની વિશેષ ભાગીદારી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સ પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ મળશેઆ ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સમાં 15 ટકાથી 35 ટકા સુધીના ડિસ્કાઉન્ટ્સ ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે. શોપિંગ ફેસ્ટિવલના સ્થળે અવરજવર કરવા માટે AMTS અને BRTS બસમાં લોકો મફત મુસાફરી કરી શકશે. લોકો માટે ખરીદીની સાથે મનોરંજન માણી શકશેહંગ્રીટો, વીકએન્ડ વિન્ડો, ફન બ્લાસ્ટ અને વિવિધ સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમો દરમિયાન શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાઈ જશે. ફૂડ અને કુલિનરી અનુભવ, શોપિંગ તથા આર્ટીઝન માર્કેટ, લાઇવ મ્યુઝિક અને સાંસ્કૃતિક રજૂઆતો, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન્સ અને પારિવારિક મનોરંજન પણ શોપિંગ ફેસ્ટિવલમાં માણી શકશે. વિદેશી પ્રવાસીઓ તથા પ્રવાસીઓ માટે ખાસ તૈયાર કરાયેલા હેરિટેજ વોકિંગ ટૂર્સ અને સિંધુ ભવન રોડ પર આવેલ વેડિંગ શોપિંગ એક્સપિરીયન્સ ઝોન દ્વારા લોકોને વિશેષ અનુભવ થશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઈલ એપ પરથઈ નેવિગેશનની સુવિધા મળશેઅમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઇલ એપ અને ઑનલાઇન પોર્ટલ દ્વારા મુલાકાતીઓને સરળ આયોજન તથા નૅવિગેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. લોકો આ ફેસ્ટિવલની માહિતી માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઈટ https://www.ahmedabadshoppingfestival2025.com/ ની મુલાકાત લઈ શકશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:23 pm

શામળાજીમાં માઘશર પૂનમે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું:ભગવાન શામળિયાને અનોખો શણગાર, દર્શન માટે લાંબી કતારો

શામળાજી: માઘશર સુદ પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કૃષ્ણ મંદિરોમાં પૂનમના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે પહોંચ્યા હતા. આજે માઘશર માસની પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. તેમને સોનાના આભૂષણો, હીરાજડિત મુગટ અને સુંદર વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. ભગવાનના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. દિવસભર ભક્તો ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:17 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણોત્સવનો પ્રારંભ કરાવશે:ધોરડોના સફેદ રણમાં ટેન્ટ સિટી, રણમાં કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા નિહાળશે

વિશ્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવ 2025નો રંગારંગ પ્રારંભ થયા બાદ આજે 11માં દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. સંભવિત સાંજે 4.15 કલાકે સીએમ પટેલ રણોત્સવની મુલાકાત લેશે. જ્યાં ટેન્ટ સિટી, સફેદ મીઠાના અનોખા રણમાં કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા નિહાળશે. આ વસ્તુઓનું મુખ્ય આકર્ષણ રહેશે આ વર્ષના રણોત્સવમાં હેન્ડીક્રાફ્ટ બજાર, સ્થાનિક વાનગીઓ, સંગીત-નૃત્ય કાર્યક્રમો, કેમલ સફારી, હોટ-એર બલૂન રાઈડ અને વ્હાઈટ રણ પરની સાંજના વિશેષ કાર્યક્રમો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે. ખાસ કરીને આજે પૂર્ણિમાની રાતે ચાંદનીમાં ઝળહળતું સફેદ રણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણોવ્હાઇટ રણ પર સૂર્યોદય અને સૂર્યાસ્તટેન્ટ સિટી – રહેવાની ઉત્તમ સુવિધાઓકચ્છી સંગીત અને નૃત્ય કાર્યક્રમોકચ્છી ખાદ્ય સંસ્કૃતિકરાગીરીના હાટ અને કલા પ્રદર્શન રણોત્સવનો ઇતિહાસકચ્છ રણોત્સવ એક દિવસથી શરૂ થયેલી પરંપરા આજે ચાર મહિના ચાલતા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં રૂપાંતરિત થઈ ગઈ છે.રણોત્સવની શરૂઆત વર્ષ 2005- 06 દરમિયાન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો સાથે ગુજરાત ટુરિઝમ દ્વારા થઈ હતી, જેમાં કચ્છની લોકકલા, હસ્તકલા, સંગીત, નૃત્ય અને કુદરતી સૌંદર્યને વિશ્વ સમક્ષ મૂકવાનો ઉદ્દેશ હતો. આજે રણોત્સવના કારણે ધોરડોનું નમકચ્છિત સફેદ રણ જગ વિખ્યાત બની ગયું છે. પહેલાં એક દિવસનો કાર્યક્રમ હતોપ્રારંભિક વર્ષોમાં રણોત્સવ માત્ર એક દિવસનો દિવસો-એ-કચ્છ પ્રકારનો કાર્યક્રમ હતો.પછીથી પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને તેને શિયાળા દરમિયાન દૈનિક ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું અને આજે તે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે.કચ્છના ભુકંપ પછી પ્રવાસનને વેગ આપવા માટે કરાયેલું રણોત્સવનુ આયોજન એક સફળ પ્રયાસ સાબિત થયું છે. સ્થાનિકો માટે રોજગારીનું કેન્દ્રરણોત્સવ માત્ર સાંસ્કૃતિક ઉત્સવ નહીં પરંતુ કચ્છના હજારો પરિવારો માટે રોજગારીનું માધ્યમ છે.હેન્ડિક્રાફ્ટ, પરંપરાગત વસ્ત્રો, મઢવર્ક, ગ્રામ્ય હોમ-સ્ટે અને ટેન્ટ સિટી દ્વારા સ્થાનિક લોકોને આર્થિક પ્રગતિ માટે વિશાળ તકો મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:15 pm

ગઢડાના મોટા સખપરથી રતનપર જસદણ રોડ દોઢ વર્ષથી બિસ્માર:લોકોને 50 કિમી વધુ મુસાફરી કરવી પડે, ST બસ સેવા પણ બંધ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપરથી રતનપર, સનાળા, વનાળા, મોઢુકા અને જસદણ તરફ જતો 15 કિલોમીટરનો માર્ગ છેલ્લા દોઢ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર રેતી અને કપચીના થર જમા થવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને દરરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. મોટા સખપર, હોળાયા, રતનપર, મેઘવડીયા, ધુરુફણીયા, ભીમદાડ અને સાળગપરડા સહિતના અનેક ગામોના હજારો લોકો માટે આ માર્ગ જસદણ પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો છે. સામાન્ય રીતે આ માર્ગે જસદણનું અંતર 30 કિલોમીટર થાય છે, પરંતુ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે લોકોને ગઢડા થઈને 50 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ રસ્તો જોખમી બન્યો છે, જ્યાં રેતી અને કપચીને કારણે વાહનો સ્લિપ થવાના બનાવો સતત વધી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાની બિસ્માર હાલતને કારણે છેલ્લા 15 વર્ષથી સરકારી ST બસ સેવા પણ આ માર્ગ પર બંધ છે, જેના પરિણામે લોકોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે. આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા સખપર ગામના સરપંચ પ્રવિણભાઈ મકવાણા અને સ્થાનિક ઈન્દુભાઈ માલધારી સહિત ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં માર્ગ સુધારણા કાર્ય શરૂ નહીં થાય, તો તમામ ગામો એકઠા થઈને આંદોલન કરશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:12 pm

ગોધરામાં ACM સર્કિટ ચોરીનો ભેદ ઉકેલાયો:SOG પોલીસે ચોરાયેલી સર્કિટ સાથે આરોપીને ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા SOG પોલીસે ઇકો ગાડીમાંથી ACM સર્કિટની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ચોરાયેલી સર્કિટ પણ જપ્ત કરી છે અને વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીને ગોધરાના દયાળ કાકરા રોડ પરથી પકડવામાં આવ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતે મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે સ્ટાફને કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સૂચનાઓ બાદ, SOG ગોધરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ અને સ્ટાફ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, SOG ગોધરાના એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે ગોધરા દયાળ કાકરા રોડ ખાતેથી રિઝવાન સાજીદ મામજી (રહે. રાણી મસ્જિદ પાસે, બજાર મહોલ્લા, ગોધરા, જિ. પંચમહાલ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ગોધરાના કલાલ દરવાજા પાસે પાર્ક કરેલી ઇકો ગાડીમાંથી ચોરી કરાયેલી ACM સર્કિટ મળી આવી હતી. આરોપીની ધરપકડ સાથે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી આઠ હજાર રૂપિયાની કિંમતની એક ACM સર્કિટ જપ્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:10 pm

મહીસાગર LCBએ વિદેશી દારૂ સાથે બે ઝડપ્યા:બાકોર વિસ્તારમાંથી ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના બે આરોપી પકડાયા

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹4.60 લાખથી વધુનો દારૂ અને કુલ ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રોહીબીશન વોચ અને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ તપાસ દરમિયાન, LCBના એ.એસ.આઈ. ભવાનજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, એક સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી પાંડરવાડા થઈ બાબલિયા ચોકડી તરફ જવાનો હતો. આ બાતમીના આધારે, LCB સ્ટાફ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીયાનામુવાડા ગામ પાસે ખાનગી વાહનો સાથે વોચ ગોઠવીને ઊભો હતો. બાતમી મુજબની સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડી આવતા, LCB ટીમે રસ્તા પર વાહનોની આડશ કરીને તેને રોકી લીધી હતી. પોલીસે ગાડી ચાલક અને તેની બાજુની સીટમાં બેઠેલા ઇસમને ઝડપી પાડ્યા હતા. ગાડીની પ્રાથમિક તપાસ કરતા તેમાં વિદેશી દારૂની બોટલો હોવાનું જણાયું હતું. ત્યારબાદ ગાડીને પોલીસ જાપ્તા સાથે બાકોર પોલીસ સ્ટેશન લાવીને વધુ તપાસ કરતા, તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 135 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹4,60,622 આંકવામાં આવી છે. દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹12,95,622 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ (૧) અમન રમેશ યાદવ, રહે. થાના. ચીતરી, તા. ગલીયાકોટ, જિ. ડુંગરપુર, રાજસ્થાન અને (૨) દિક્ષીત જીવરાજ યાદવ, રહે. ગામ. ગલીયાકોટ, બોરાકોલોની, જુઈતલાઈ, થાના. ચીતરી, તા. ગલીયાકોટ, જિ. ડુંગરપુર, રાજસ્થાન છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:04 pm