નવસારી મહાનગરપાલિકાનું દબાણ વિભાગ દિવાળીના તહેવારો બાદ ફરી સક્રિય બન્યું છે. પાલિકાએ સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવી 7.5 મીટર રોડ ખુલ્લો કર્યો છે. આ કાર્યવાહી પ્રકાશ ટોકીઝ ગરનાળા પાસેની ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુથી કરવામાં આવી છે. શહેરમાં લાંબા સમયથી દબાણ હટાવવાની કામગીરી ધીમી પડી હતી. નવસારીના સ્ટેશન વિસ્તારમાં કરોડોના ખર્ચે એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો થાય છે. પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા પ્રકાશ ટોકીઝ ગરનાળાનો ઉપયોગ મોટા પાયે થતો હોવાથી ત્યાં નિયમિતપણે ટ્રાફિક જામ થાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે. શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણકર્તાઓ સામે કાર્યવાહી શરૂ કરી. સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની નીચેના ભાગમાં દબાણો હટાવવામાં આવ્યા. આ કવાયત દરમિયાન 7.5 મીટર જેટલો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય. આ ઉપરાંત, પાલિકાએ પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ગરનાળાની આસપાસના દબાણોને દૂર કરવા માટે પણ કામગીરી શરૂ કરી છે. પાલિકાની આ કાર્યવાહીથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે અને માર્ગો પરની અવર-જવર વધુ સરળ બનશે.
અમદાવાદના રહેવાસી એક પતિને તેની અલગ રહેતી પત્નીને ફેમિલી કોર્ટ દ્વારા 45 લાખ રૂપિયાનું કાયમી ભરણપોષણ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. પતિએ આ આદેશને હાઇકોર્ટમાં પડકારતાં દલીલ કરી હતી કે તેની પત્નીએ તેની માતાની હત્યા કરી છે. ત્યારે આવા ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલી પત્નીને ભરણપોષણ ચૂકવવું અયોગ્ય છે. આથી હાઇકોર્ટે ફેમિલી કોર્ટના હુકમ ઉપર સ્ટે મૂક્યો હતો. માતાની હત્યાનો ઉલ્લેખ કરીને છૂટાછેડા માટે અરજી કરી હતીપત્નીની ઓક્ટોબર, 2020માં તેની સાસુની લોખંડની સળિયાથી માર મારી હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સમયે પત્ની ગર્ભવતી હતી અને પછી જેલમાં જ તેને એક સંતાનને જન્મ આપ્યો હતો. તેણીએ જામીન મળતા પહેલાં 02 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો. વર્ષ 2021માં પતિએ પત્ની પાસેથી માનસિક અને શારીરિક ક્રૂરતાના આધાર પર છૂટાછેડા માટે અરજી કરી હતી અને તેમાં પોતાની માતાની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. ભરણ પોષણ પેટે 45 લાખ પત્નીને ચૂકવવા ફેમિલી કોર્ટનો આદેશફેમિલી કોર્ટે આ વર્ષે ઑગસ્ટ મહિનામાં પતિ અને પત્ની વચ્ચેના છૂટાછેડા મંજૂર કર્યા હતા. પરંતુ ગ્રેનાઈટના વ્યાપારી એવા પતિને તેની આવકના આધારે કાયમી ભરણ પોષણ પેટે 45 લાખ રૂપિયા પત્નીને ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના હુકમ ઉપર સ્ટે મૂક્યોજેને પતિએ હાઇકોર્ટમાં પડકારતા ફેમિલી કોર્ટના ભરણપોષણના આદેશ ઉપર સ્ટે મૂકતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ કેસ સામાન્ય છૂટાછેડાનો નથી, પરંતુ પતિ પર માનસિક અને શારીરિક બંને રીતે ક્રૂરતા કરવામાં આવી છે, માતાની હત્યાથી તેને વધુ દુઃખ પહોંચ્યું છે. આ કેસ ઉપર વધુ સુનવણી જાન્યુઆરી મહિનામાં યોજાશે.
ગોધરામાં અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:ભુરાવાવના ડોડપા બળિયાદેવ મંદિર પાસે સવારે મૃતદેહ મળ્યો
ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડોડપા બળિયાદેવ મંદિર પાસે વહેલી સવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 55 થી 60 વર્ષના લાગતા આ વૃદ્ધના મૃતદેહને પોલીસે કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વૃદ્ધનું મોત કડકડતી ઠંડીના કારણે થયું હોવાનું મનાઈ રહ્યું છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. સ્થાનિક લોકોએ વહેલી સવારે મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો પંચનામું કરી તેને ગોધરા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ સ્થાપિત કરવા અને તેમના વારસદારોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક અઠવાડિયાથી પંચમહાલ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં ફૂટપાથ પર રહેતા નિર્વાસિત અને શ્રમજીવી લોકો માટે રાત્રિ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. આ ઘટના ઠંડીના કારણે થયેલા મોતની શક્યતાને વધુ મજબૂત બનાવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વૃદ્ધના મોતનું સાચું કારણ જાણી શકાશે. જોકે, આ ઘટના શિયાળામાં નિર્વાસિત અને ગરીબ વર્ગના લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા દર્શાવે છે.
મહેસાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં વ્હેમિલા પતિના ગૃહકલહની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં પરપુરુષ સાથેના આડા સંબંધોની શંકાએ ઉશ્કેરાયેલ પતિએ પોતાની પત્નીને ઢોર માર મારી હેવાનીયત વરસાવતા પોતાનો જીવ બચાવવા મહિલાએ મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમનો સહારો લીધો હતો. આડા સંબંધોની શંકામાં પતિએ પત્નીને માર માર્યો હતોપતિના અત્યાચારોની શિકાર બનેલી પીડિત મહિલા અંગે માહિતી મળતા જ 181 અભયમની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. ટીમે બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી ગતિવિધી શમાવવા શાંતિપૂર્ણ સમાધાનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શંકા અને ગુસ્સાની આગમાં સળગતો પતિ કાઉન્સેલીંગની ભાષા સમજવા કે સાંભળવા તૈયાર ન થતા મામલો વધુ ગંભીર બન્યો. પીડિત મહિલાને 181 અભયમની મદદ મળીત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા 181 ની ટીમે સમજદારી પૂર્વક મહિલાને કાનૂની રીતે સુરક્ષિત માર્ગ અપનાવવા માર્ગદર્શન આપ્યું. જે થી અણપઢ મહિલા પણ જ્ઞાનપૂર્ણ બની પોતાની સુરક્ષા અને ન્યાય માટે સીધી જ નજીકના પોલીસ મથકે પહોંચી અને પતિ વિરુદ્ધ સચોટ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ આધારે પોલીસે તાત્કાલિક તેના પતિને કાબુમાં લઈ અટકાયત કરી કાયદાનો 'કરકસ શબક’ શીખવાડયો હતો. આમ 181 અભયમની ટીમની મદદથી મહિલાને સુરક્ષા અને માર્ગદર્શન મળ્યું હતું. તો પોલીસની કાર્યવાહી બાદ પતિની હઠ પણ ઢીલી પડી અને આખરે ગરમાયેલો મામલો ઠંડો પડયો.
વલસાડના ગૌરવ પથ પર એક મોપેડ ચાલકે ચાલુ મોપેડનું સ્ટેરિંગ સગીરને સંચાલન કરવા આપ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ વલસાડ સિટી પોલીસે વીડિયોના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બાઈ સ્કૂલ નજીક બનેલી આ ઘટનામાં, મોપેડ નંબર GJ-39-A-6030 પર સવાર યુવકે મોપેડને પુરપાટ ઝડપે દોડાવતી વખતે આગળ બેઠેલા સગીરને સ્ટેરિંગ સોંપ્યું હતું. આ બેદરકારીભર્યા કૃત્યથી પોતાનો તેમજ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. લોકોએ મોપેડ ચાલક સામે કડક પગલાં લેવા અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અનેક વાહનચાલકોએ બાળકોને ચાલુ વાહનનું સ્ટેરિંગ ન આપવા અપીલ પણ કરી છે. વલસાડ સિટી પોલીસને આ વીડિયો મળ્યા બાદ, પોલીસે તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. આ મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદમાં સહ પ્રભારી મંત્રીની બેઠક:વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના
દાહોદ કલેક્ટર કચેરી ખાતે આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી તેમજ દાહોદ જિલ્લાના સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડેએ જિલ્લા અને વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રાથમિક માહિતી આપી હતી. બેઠક દરમિયાન આરોગ્ય, નેશનલ હાઇવે પર જંગલ કટિંગ, અને રસ્તા પરના દબાણ જેવા પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ થયા હતા. આ ઉપરાંત, આયોજનના કામો, એટીવીટીના કામો, વિકેન્દ્રિત તાલુકા કક્ષાની પ્રોત્સાહક જોગવાઈ, પ્રાથમિક મંજૂરી, એમએલએ ફંડ, નગરપાલિકા જોગવાઈ અને નાણાકીય કામો અંગેની તાલુકાવાર માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ રજૂ થયેલી તમામ માહિતીની સમીક્ષા કરી હતી. તેમણે ડીઆરડીએ હેઠળના કામો, શિક્ષણ વિભાગ, નલ સે જલ યોજના, આદિજાતિ યોજનાઓ, રોડ-રસ્તા અને પુરવઠા વિભાગની કામગીરી અંગે વિભાગવાર માહિતી મેળવી હતી. તેમણે તમામ અધિકારીઓને પ્રજાકીય અને વિકાસના કામો સમયસર, ઝડપથી અને નીતિ-નિયમોમાં રહીને પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. મંત્રીએ ચાલુ વર્ષની કામગીરી તે જ વર્ષમાં પૂર્ણ થાય તે માટે આપસી સંકલનથી કામ કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં દાહોદ જિલ્લામાં ચૂંટણી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બદલ ઈલેક્શન રિટર્નિંગ ઓફિસર (ઈ.આર.ઓ.) નું મંત્રીના હસ્તે ગુલદસ્તો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારીઓ, ધારાસભ્યો, ભાજપા જિલ્લા પ્રમુખ સહિત જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વર્ણીન્દ્રધામ ખાતે નીલકંઠ નેચરલ પાર્કનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો અને મહંતોની દિવ્ય હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન થઈ હતી. પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના વ્યવસ્થાપકોએ જણાવ્યું હતું કે, હાલ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પાર્કનું સંપૂર્ણ આયોજન તૈયાર કરવામાં આવશે, ત્યારબાદ જ નીલકંઠ નેચરલ પાર્કનું નિર્માણ કાર્ય શરૂ કરાશે. વર્ણીન્દ્રધામ મંદિરની કેટલીક આગવી વિશેષતાઓ પણ છે. આ સ્વામિનારાયણ મંદિર 20 એકરમાં ફેલાયેલું છે. અહીં 108 ગૌમુખધારા સ્નાન અને મંદિર ફરતે 75 લાખ લિટર પાણીની વ્યવસ્થા છે. મંદિરમાં નીલકંઠ સરોવરમાં ઠાકોરજીનો નિત્ય નૌકાવિહાર થાય છે. ઉપરાંત, રથ, ઘોડા, હાથી વગેરે સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા પણ યોજાય છે. નીલકંઠધામની જેમ જ વર્ણિન્દ્રપ્રભુને નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ ધરાવવામાં આવે છે અને નિત્ય મહાઅભિષેક કરવામાં આવે છે. અહીં સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન પણ ચાલુ રહે છે. મંદિરમાં આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગનું આયોજન થાય છે. આ ઉપરાંત, રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્રનું સાંસ્કૃતિક પ્રદર્શન પણ અહીં ઉપલબ્ધ છે.
જામનગરના ચકચારી દુષ્કર્મ કેસમાં ફરાર ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને ગુજરાત હાઈકોર્ટે પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો છે. આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે જામીન મંજૂર કરવાને બદલે તેને 10 ડિસેમ્બર, 2025ના રોજ કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જામનગરના જાણીતા ઉદ્યોગપતિ વિશાલ મોદી પ્રોપર્ટી બતાવવાના બહાને પીડિતાને આર્યભગવતી વિક એન્ડ વિલામાં લઈ ગયા હતા. ત્યાં તેમને કેફી પીણું પીવડાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના અંગત ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી, આરોપીએ બે વર્ષ સુધી પીડિતા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ફરિયાદ બાદ વિશાલ મોદીએ ધરપકડથી બચવા જામનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ફરિયાદની વિગતો ધ્યાનમાં લીધી હતી. કોર્ટે આગોતરા જામીન આપવાને બદલે આરોપીને 10 ડિસેમ્બર, 2025ના રોજ તેના મોબાઈલ ફોન સાથે તપાસ કરનાર પોલીસ અધિકારી સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. એક મહિનાથી વધુ સમયથી ફરાર આરોપીની ધરપકડ થઈ શકી ન હતી. આ આદેશથી પોલીસને આરોપીની પૂછપરછ કરવા અને મોબાઈલ ફોન સહિતના પુરાવાઓની તપાસ કરવાનો માર્ગ મોકળો થયો છે, જેનાથી કેસમાં વધુ વિગતો સામે આવી શકે છે.
વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ગુરુવાર કરતાં 1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગ અનુસાર, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આગામી છ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઉત્તર-પૂર્વ-પૂર્વ દિશામાંથી પવન ફૂંકાશે. આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીમાં વધારો થતાં વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા નજરે પડે છે. જિલ્લામાં સૌથી ઓછું તાપમાન ઉમરગામમાં 18 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલું તાપમાન જોઇએ તો- વલસાડમાં 30C મહત્તમ અને 19C લઘુત્તમ, ધરમપુરમાં 33C મહત્તમ અને 19C લઘુત્તમ, વાપીમાં 30C મહત્તમ અને 21C લઘુત્તમ, કપરાડામાં 31C મહત્તમ અને 20C લઘુત્તમ, ઉમરગામમાં 29C મહત્તમ અને 18C લઘુત્તમ, અને પારડીમાં 30C મહત્તમ અને 20C લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વલસાડ, ધરમપુર અને ઉમરગામમાં આકાશ સ્પષ્ટ રહેશે, જ્યારે વાપીમાં વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. પારનેરા ડુંગર વિસ્તારમાં ઠંડા પવનના સુસવાટા વચ્ચે ખેડૂતો રવિ પાક અને આંબાની માવજતમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. રાત્રિનું તાપમાન 18 ડિગ્રી સુધી ઘટી શકે છે અને દિવસ દરમિયાન 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.
કેનેડાનો નવો PR પ્લાન, ખાસ કરીને ભારતીયો અને USમાં ફસાયેલા H1B વિઝાધારકોની મુશ્કેલી દૂર થશે!
Image: IANS (File Photo)
સુરતના ટેક્સટાઇલ સિટીમાં અવારનવાર છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે, પરંતુ તાજેતરમાં એક એવા નકલી જેલરની ધરપકડ કરવામાં આવી હતી, જેણે સીધા જેલમાં બંધ આરોપીઓના સગાં-સંબંધીઓને નિશાન બનાવીને પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો હતો. અમદાવાદના આ ભેજાબાજ આરોપી રાજેશ નરેન્દ્ર ત્રિવેદીને સુરતની સચિન પોલીસે આખરે પાસા હેઠળ જેલભેગો કરી દીધો છે, અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જેલમાં VIP સુવિધાના નામે ખંડણી માગતોનકલી જેલર રાજેશ ત્રિવેદીએ સુરતના અનેક પોલીસ મથકોના કેસોમાં સંડોવાયેલા આરોપીઓના પરિવારજનોને નિશાન બનાવ્યા હતા. અડાજણના બ્લેકમેલિંગ કેસના આરોપીઓના પરિવારને કોલ કરીને તેણે પોતાને લાજપોર જેલના જેલર તરીકે ઓળખ આપી હતી. તે કોલ દ્વારા આરોપીના સગાં અને મિત્રોને ધમકી આપતો હતો કે જો જેલમાં વીઆઇપી સુવિધા જોઈતી હોય તો તાત્કાલિક 15 હજાર આપવા પડશે, નહીંતર આરોપીને જેલમાં માર મારવામાં આવશે. છેતરપિંડી અને ખંડણીની ફરિયાદસુરતના મહિધરપુરા સચિન, સારોલી અને લસકાના જેવા અલગ-અલગ પોલીસ મથકોમાં તેની વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. આ ભેજાબાજની ધમકીથી ડરીને કેટલાક કિસ્સાઓમાં તો આરોપીના મિત્રોએ 15000 આપી પણ દીધા હતા. લાજપોર જેલર એ નકલી જેલર રાજેશ ત્રિવેદીનો ભાંડો ફોડ્યોઆ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો, જ્યારે લાજપોર જેલના જેલર દ્વારા સચિન પોલીસ મથકમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે જેલના કોઈ સત્તાધીશ અધિકારી કે કર્મચારી દ્વારા આવી કોઈ રૂપિયાની માંગણી કરવામાં આવી નહોતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાજેશ ત્રિવેદીને દબોચ્યોઅગાઉ, આ આરોપી રાજેશ ત્રિવેદીની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સચિન પોલીસે તેનો કબજો મેળવીને તપાસ હાથ ધરી હતી અને તેને જેલભેગો કર્યો હતો. પાસા હેઠળ કાર્યવાહીગુનાહિત પ્રવૃત્તિઓ અને લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાની પ્રવૃત્તિ સતત ચાલુ રાખનાર રાજેશ ત્રિવેદી જામીન પર છૂટ્યા બાદ ફરીવાર આવી જ પ્રવૃત્તિઓ શરૂ ન કરે તે માટે સચિન પોલીસે કડક વલણ અપનાવ્યું. સુરત પોલીસે કાયદાનો દંડો પછાડતાં, આ ભેજાબાજ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની ભલામણ કરી, જેને મંજૂરી મળતા જ તેને ગણતરીના સમયમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો. આમ, અમદાવાદનો આ નકલી જેલર આખરે અમદાવાદની જ જેલમાં ધકેલાયો છે. નકલી અધિકારીઓ બનીને પૈસા પડાવતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રાજેશ નરેન્દ્રભાઈ ત્રિવેદી માત્ર નકલી જેલર તરીકે જ નહીં, પરંતુ અગાઉ પણ તેણે પોતાને પોલીસ તરીકે, મહેસૂલ વિભાગના અધિકારી તરીકે અને ફૂડ સેફટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપીને અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. લોકોમાં ભય અને વિશ્વાસ ઊભો કરીને કાયદાની આડમાં ગુનો આચરવાના તેના ઇરાદાને કારણે તેને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.
ચોટીલામાં પરિક્રમા રૂટની ચકાસણી:નાયબ કલેક્ટરે પગપાળા ચાલીને રૂટ અને પ્રસાદના ભાવ તપાસ્યા
ચોટીલા યાત્રાધામ ખાતે પરિક્રમા રૂટ નક્કી કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રૂટની પગપાળા ચકાસણી કરી હતી. નાયબ કલેક્ટર મકવાણાએ નાના પાળીયાદથી મફતિયાપરા થઈને ભક્તિવન સુધી અને ત્યાંથી પરત નાના પાળીયાદ સુધીના રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું. આ રૂટ યાત્રાળુઓ માટે પરિક્રમા હેતુસર નક્કી કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, તેમણે ચોટીલામાં વેચાતા નાળિયેર અને અન્ય પ્રસાદના ભાવો અંગે પણ તપાસ કરી હતી. યાત્રાળુઓને પોસાય તેવા ભાવ રાખવામાં આવે છે કે કેમ, તે જાણવા માટે તેમણે યાત્રાળુઓ સાથે રૂબરૂ વાતચીત કરી ખાતરી મેળવી હતી. આ પરિક્રમા રૂટની ચકાસણી દરમિયાન ચોટીલાના પોલીસ ઇન્સ્પેક્ટર, નાના મોલડીના પોલીસ ઇન્સ્પેક્ટર અને ચોટીલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના દિવ્યાંગ બહેન ગંગાબેન ઠાકોરને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે મળાવ્યા હતા. દિલ્હીમાં સંસદ ભવન બહાર આ મુલાકાત થઈ હતી. પ્રિયંકા ગાંધી લોકસભામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોરે તેમને ગંગાબેન મળવા ઈચ્છે છે તેમ જણાવ્યું. ગંગાબેન દિવ્યાંગ હોવાથી ચાલી શકતા નથી. આ સાંભળીને પ્રિયંકા ગાંધી પોતાની ગાડીમાંથી પાછા ફર્યા અને લગભગ 100 મીટર દૂર ઊભેલા ગંગાબેનને મળવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ગંગાબેન સાથે સંવેદનશીલતાપૂર્વક સંવાદ કર્યો, તેમના ખબરઅંતર પૂછ્યા અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી. 'મારી બહેન 'મા' જેવી ભૂમિકા ભજવે છે: સાંસદઆ મુલાકાત દરમિયાન સામાન્ય માણસને ગળે લગાવીને પરિવારની ભાવના સાથે મળ્યાનો અનુભવ થયો હતો.આ અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'મારી બહેન ગંગા, જે મારા દરેક કામમાં પડદા પાછળ રહીને 'મા' જેવી ભૂમિકા ભજવે છે, તે આજે એક સામાન્ય માણસની જેમ જીવી રહી છે. પ્રિયંકાજીને મળીને તે પોતાની જાતને ધન્ય માને છે.' સાંસદ ગેનીબેનની સોશિયલ મીડિયા પર ભાવૂક પોસ્ટ
પ્રભાસ પાટણમાં મહિલા સ્વરોજગાર મેળો યોજાયો:ખાનગી એકમોમાં મહિલાઓને રોજગારની તકો ઉપલબ્ધ કરાઈ
પ્રભાસ પાટણના રામમંદિર ખાતે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા 'મહિલા સ્વરોજગાર મેળો' યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળાનો મુખ્ય ઉદ્દેશ ખાનગી એકમોમાં મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. મહિલા અને બાળ અધિકારી એમ.જે. વારસૂરે શાબ્દિક સ્વાગત પ્રવચન આપતા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની વિભાવના સાકાર કરવા માટે પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ આર્થિક રીતે આત્મનિર્ભર બનવું અત્યંત આવશ્યક છે. તેમણે મહિલાઓને રોજગારલક્ષી દિશામાં આગળ વધવા અપીલ કરી હતી. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સોનલબહેન રાઠોડે મહિલાઓ માટે આર્થિક ઉપાર્જન, આર્થિક સહાય અને સ્વરક્ષણ અંગે માહિતી આપી હતી. તેમણે તબીબી, પોલીસ, કાયદાકીય સહાય અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલિંગ જેવી સેવાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે પાબીબહેન રબારી અને સુનિતા વિલિયમ્સ જેવી સફળ મહિલાઓના ઉદાહરણો આપી ઉપસ્થિત મહિલાઓને પ્રેરણા આપી હતી. જિલ્લા રોજગાર પ્લેસમેન્ટ ઓફિસર કે.એચ. રામે જણાવ્યું હતું કે, આદર્શ સમાજના નિર્માણ માટે સ્ત્રી અને શિક્ષક અત્યંત આવશ્યક છે. તેમણે મહિલાઓને સમાનતાની ઉપલબ્ધ તકોનો લાભ લેવા જણાવ્યું હતું અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી હસ્તકની રોજગારલક્ષી યોજનાઓ તથા કચેરીના કાર્યો અને ઉપયોગીતા વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી રસીલાબહેને કર્યું હતું, જ્યારે આભારવિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર એસ.એમ. ગજેરાએ કરી હતી. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત લાભાર્થીઓને દીકરી વધામણા કીટ અને એજ્યુકેશન કીટ પણ વિતરિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સુશીલાબહેન મસાણીને મહિલા સ્વાવલંબન સબસીડી મંજૂરી પત્ર એનાયત કરાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તેમણે રાયચુરા એનર્જી તાલાળા, બોનાન્ઝા સલૂન્સ એન્ડ એકેડમી, રાજકોટ અને વેરાવળની આદિત્ય બિરલા સનલાઈફ ઈન્સ્યૂરન્સ સહિતના ખાનગી એકમોમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે પરંતુ ઈન્ડિગો એર લાઇન્સના ઓપરેશનલ રિઝનના કારણે છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે ત્યારે આજે 5 ડિસેમ્બરના પણ ઈન્ડિગોની સવારથી સાંજ સુધીની 7 ફ્લાઇટ કેન્સલ જાહેર કરવામાં આવી છે જ્યારે રાત્રિની મુંબઈની એક ફ્લાઈટ ઉડાન ભરે તેવી શક્યતા છે. આ સિવાય હાલ એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. રાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8.05 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે આ ઉપરાંત 9.00 વાગ્યાની મુંબઈ, 12.05 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગલોર, 4.55 ની મુંબઈ, 5.55 ની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે જ્યારે રાત્રિના 7.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરે તેવી શક્યતા છે. ઈન્ડિગોની મોટાભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતા મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે. રાજકોટ થી 36 કિલોમીટર દૂર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે મુસાફરો પહોંચે તો ખ્યાલ આવે છે કે આજે તો ફ્લાઈટ કેન્સલ છે જેને કારણે તેમનો સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે. જોકે હવે મુસાફરોને થોડા સમય પહેલા ફ્લાઇટ કેન્સલ થયા નહીં એડવાન્સ જાણ કરવામાં આવતા એરપોર્ટ સુધીનો ધક્કો તો બચે છે પરંતુ મેડિકલ ઈમરજન્સી સહિતના કેસમાં રાજકોટથી અન્ય રાજ્યમાં અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના મુસાફરોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટ કેન્સલ થતાં હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા માટે મુસાફરો ટ્રેનનો સહારો લઈ રહ્યા છે.
કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડું શહેર:ભુજમાં લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી, જિલ્લામાં ઠંડી યથાવત રહેશે
કચ્છમાં ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું, જ્યાં લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રણ અને સમુદ્રથી ઘેરાયેલા અબડાસા તાલુકાના વડા મથક નલિયામાં ઠંડીનો પારો સતત નીચો રહે છે. ગઈકાલે નલિયાનું મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી જ્યારે ભુજનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લાના અન્ય વિસ્તારો જેવા કે અંજાર અને ગાંધીધામમાં પણ ઠંડીની વધઘટ જોવા મળી રહી છે. સવાર-સાંજ ટાઢકનો અનુભવ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોવા મળતી ધૂંધળાશ ઘટતાં તડકાનો પ્રભાવ પણ વધ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસો દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નકારી કાઢી છે, જે દર્શાવે છે કે ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે રાહદારીને ટક્કર મારી હતી. આ ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતમાં રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મનુબર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે ઘણા કારચાલકો મુખ્ય રસ્તાને બદલે શહેરના અંદરના માર્ગોનો ઉપયોગ કરે છે. આ સિટી રૂટ પર કારચાલકે ઝડપ જાળવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું મનાય છે. ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિકોએ માંગ કરી છે કે, મનુબર ચોકડી સહિત આસપાસના વ્યસ્ત માર્ગો પર વહેલી સવારે નિયમિતપણે ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવે. આનાથી આવા અકસ્માતો ઘટાડી શકાય છે.
પોરબંદરના દિવ્યાંગ ખેલાડી પ્રિયાબેન કોડીયાતરની પેરા એશિયન ગેમ્સ માટે પસંદગી થઈ છે. તેઓ આગામી 7 તારીખે દુબઈ ખાતે યોજાનારી લોંગ જમ્પ અને 100 મીટર સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિથી તેમણે ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પ્રિયાબેન પોરબંદરના રાંધવા ગામના રહેવાસી છે. તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2010માં શરૂ કરાયેલા 'ખેલ મહાકુંભ' થકી જ રમતગમત ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આ યોજનાએ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવામાં મદદ કરી છે. તેમણે જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરા અને કોચ અજયભાઈ કરંગીયા તેમજ રાહુલભાઈ કારકીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે. પ્રિયાબેને અગાઉ નેશનલ કક્ષાની ઇવેન્ટમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને 100 મીટરમાં ચોથો રેન્ક મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તેમણે પોરબંદર જિલ્લામાં આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલની સુવિધાઓનો પૂરો લાભ લીધો છે. પ્રિયાબેન કોડીયાતરે પોતાની આ સફળતાનો શ્રેય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ખેલ મહાકુંભને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન ખેલ મહાકુંભની જાણ થઈ અને તેમાં ભાગ લીધો, ત્યારથી રમતગમત ક્ષેત્ર સાથે જોડાણ થયું અને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર રમવા માટે સ્થાન મળ્યું છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, જે જિલ્લાના ખેલાડીઓ માટે એક ઉત્તમ તક છે. તેમણે પોરબંદરના તમામ ખેલાડીઓને સરદાર પટેલ રમત સંકુલ ખાતે સવાર-સાંજ ચાલતા તાલીમ સત્રોનો લાભ લઈને પોતાની રમતગમત કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
પાટણમાં 22,700 ખેડૂતોને અતિવૃષ્ટિ સહાય ચૂકવાઈ:84.71 કરોડની સહાય સીધી બેંક ખાતામાં જમા, કામગીરી ચાલુ
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. આથી, સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં પાટણ જિલ્લામાં અગાઉના વર્ષો કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ખેડૂતોના હિતમાં સરકારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. પાટણ જિલ્લાના ચાર તાલુકામાં 1.37 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને થયેલા નુકસાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવી રિપોર્ટ સરકારને સુપરત કરાયો હતો. આ રિપોર્ટના આધારે સરકારે રાહત પેકેજ માટે અરજીઓ સ્વીકારવાની મંજૂરી આપી. જિલ્લા ખેતીવાડી વિભાગને કુલ 95,015 અરજીઓ મળી હતી. આ અરજીઓ મળ્યા બાદ, SDRF (રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ) ના નિયમો અનુસાર, ખેડૂતોને હેક્ટર દીઠ ₹22,000 પ્રમાણે વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 22,700 અરજીઓના બિલ જનરેટ કરીને કુલ ₹84.71 કરોડની સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં જેમ જેમ બિલો જનરેટ થતા જશે તેમ તેમ બાકીના ખેડૂતોને પણ તેમની સહાય ચૂકવવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકીટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (OTP) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ OTP તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. OTPનું સફળ સત્યાપન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે. બીજીતરફ તારીખ 8 ડિસેમ્બરની ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. OTP આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ શરૂઆતમાં ટ્રેન નંબર 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર 05 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે. નવી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, IRCTC વેબસાઇટ તથા IRCTC મોબાઇલ એપ દ્વારા થતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે. ત્યારે મુસાફરોને રેલવે તંત્રની વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર આપે, જેથી OTP સત્યાપનની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. 8 ડિસેમ્બરના રોજ ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે ઉત્તર પશ્ચિમ રેલ્વેનાં ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો 1) 8 ડિસેમ્બર, 2025ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. તેથી ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. 2) 9 ડિસેમ્બર, 2025ના રોજ જયપુરથી ઉપડનારી ટ્રેન નં. 20952 જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુરને બદલે અજમેરથી ઉપડશે. તેથી, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો 1) 06.12.2025 અને 09.12.2025 ના રોજ ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-રેવાડીને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં કિશનગઢ, ફુલેરા અને જયપુર નો સમાવેશ થાય છે. 2) 04.12.2025 અને 08.12.2025 ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં જયપુર, ફુલેરા અને કિશનગઢ નો સમાવેશ થાય છે.
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે ફૂડ એન્ડ સેફ્ટી સહિતના સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દર મહિને રેન્ડમ સેમ્પલિંગ, ઓનલાઈન વિતરણ વ્યવસ્થા જાળવવા, યોગ્ય તોલમાપ અને કેલિબ્રેશન ચેક કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, આકસ્મિક તપાસણી અને ગેસ સિલિન્ડરના વજન બાબતે પણ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, સરકારે નિયત કરેલા માપદંડ અનુસાર ગ્રાહકોને યોગ્ય સંતોષ મળે તે દિશામાં કામ કરવું જોઈએ. લોકોને અનાજ ઓછું ન મળે તેની ખાસ તકેદારી રાખવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા પૂરવઠા અધિકારી પારસ વાંદાએ બેઠકમાં તાલાલા, ઉના અને ગીરગઢડા તાલુકાની વાજબી ભાવની દુકાનોના સ્થળફેર અને જાહેરનામા સહિતની બાબતો રજૂ કરી હતી. તાલાલા તાલુકામાં ઉમરેઠી, ધણેજ, જાંબુર ગામની વાજબી ભાવની દુકાનોના સ્થળફેર અને ગુંદરણ ગામની દુકાનને ધાવા દુકાન સાથે બ્રાન્ચ એફ.પી.એસ. કરવા અંગે ચર્ચા થઈ હતી. ગીરગઢડા તાલુકાના શાણાવાંકિયા અને ઉના તાલુકાના સીમર, ભીંગરણ અને કોબ ગામની વાજબી ભાવની દુકાનોના જાહેરનામા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં, ગીરગઢડા તાલુકાના ઝૂડવડલી ગામની બ્રાન્ચ એફ.પી.એસ. રદ કરી વડવિયાળા સાથે, સનવાવ-2 ગામની બ્રાન્ચ એફ.પી.એસ. રદ કરી સનવાવ દુકાન સાથે મર્જ કરવાના પ્રસ્તાવો રજૂ થયા હતા. કોડીનાર તાલુકામાં જમનવાડા વાજબી ભાવની દુકાનને નજીકના મોટી ફાફણી તેમજ આલીદર-૨નો પોઈન્ટ રદ કરી આલીદર-૧ સાથે મર્જ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત લાભાર્થીઓનો સમાવેશ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્ય ડાહ્યાભાઈ જાલોંધરા, અરશી ચાવડા, ફૂડ ઈન્સ્પેક્ટર એસ.એસ. રાવલ, આર.સી.એચ.ઓ. અરુણ રોય સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાથી મુંબઈ દિલ્હી પુણે અને ગોવા જતી ઇન્ડિગોની ચાર ફ્લાઈટ આજે રદ કરવામાં આવી છે. ઇન્ડિગોમાં સ્ટાફની અછતને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. ગઈકાલે પણ 2 ફ્લાઇટ રદ્દ કરાઈ હતી અને 2 ફ્લાઇટ મોડી પડી હતી. આ ફ્લાઇટસ રદ્દ કરાઈ ઇન્ડિગો ફ્લાઇટ 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટ 6E-5066/6662 દિલ્હી-વડોદરા-દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટ 6E-6241/6245પુણે-વડોદરા-પુણે ઈન્ડિગો ફ્લાઇટ 6E- 2178/105હૈદરાબાદ-વડોદરા-ગોવા એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ચોથા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. DGCAએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ-મેમ્બર્સનાં કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારોને ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કો 1 જુલાઈના રોજ લાગુ થયો હતો. જ્યારે 1 નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો છે, જેના પછી એરલાઇન કંપનીઓ, ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર દેખાવા લાગી છે. દેશની 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઇન્ડિગો પાસે છે આખરે ઇન્ડિગોથી તણાવ કેમ: ઇન્ડિગો પાસે સૌથી વધુ 434 વિમાન છે. એક દિવસમાં 2300થી વધુ ફ્લાઇટ્સ છે. દેશની 60%થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેની પાસે છે. હાલ કેટલો સ્ટાફ છે: હાલ તેની પાસે 5456 પાઇલટ અને 10212 કેબિન ક્રૂ-મેમ્બર છે. 41 હજારથી વધુ કાયમી કર્મચારીઓ છે. તો ક્રૂની અછત કેમ છે: ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત સર્જાઈ છે. નવા નિયમોમાં પાઇલટોના ઉડાન ભરવાના નિયમો ઘટાડીને દરરોજ 8 કલાક કરી દીધા છે. નાઇટ લેન્ડિંગ 6થી ઘટાડીને 2 કરી દીધી છે. ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખ્યો છે.કંપની સૂત્રોનું કહેવું છે કે ઇન્ડિગોનું શિડ્યૂલિંગ સિસ્ટમ આ બદલાવ પછી હજુ સંપૂર્ણપણે સ્થિર થયું નથી, જેના કારણે ઘણા મહત્ત્વપૂર્ણ રૂટ્સ પર અચાનક ક્રૂની ભારે અછત સર્જાઈ છે.
વલસાડના તિથલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો 26મો પાટોત્સવ અક્ષરપૂર્ણિમાના પવિત્ર દિવસે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે દૂરદૂરથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સવારે નગારા, શંખ, ઘંટનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. પવિત્ર સ્થળે પૂજ્ય સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાન સહિત રાધાકૃષ્ણ, શંકર પાર્વતી, સીતારામ, ગણપતિજી તથા ગુરુપરંપરાનો વિધિવત અભિષેક કરવામાં આવ્યો હતો. હરિભક્તોએ શાંતિ, સુખાકારી અને સર્વકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. અક્ષર-પુરુષોત્તમ મહારાજની ચલમૂર્તિનો પંચામૃત અભિષેક ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં પધારેલા શ્રદ્ધાળુઓએ જયઘોષ વચ્ચે ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સુંદર અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મીઠાઈઓ, શાક, નાસ્તા અને ફળોનો વિશાળ ભોગ ઠાકોરજીને અર્પણ કરવામાં આવ્યો હતો. સંધ્યાકાળે આયોજિત સત્સંગ સભામાં ચિન્મયદાસ સ્વામી અને વિવેકસ્વરૂપ સ્વામીએ આધ્યાત્મિક જીવન, સંસ્કારસિંચન અને સેવા-ભક્તિના મૂલ્યો પર માર્ગદર્શન આપ્યું હતું. સંતોએ હરિભક્તોને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. પાટોત્સવની આ ભવ્ય ઉજવણી ભક્તોમાં શાંતિ, આનંદ અને આધ્યાત્મિક ઊર્જાનો સંદેશ ભરી ગઈ હતી, જેનાથી સૌએ મનની શાંતિની અનુભૂતિ કરી હતી. હવે જુઓ, પાટોત્સવની ખાસ તસવીરો
વલસાડ જિલ્લાના વાપી ડુંગરામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા મળ્યા બાદ, કેસના સ્પેશ્યલ સરકારી વકીલ અને તપાસ કરનાર પોલીસ અધિકારીઓનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ વાપી DySP કચેરી ખાતે યોજાયો હતો. આ ઘટના ઓક્ટોબર 2023માં વાપીના ડુંગરા ખાતે બની હતી. એક શ્રમિક પરિવારની 6 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપીને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં ડુંગરા પોલીસ મથકના તત્કાલીન PI મયુર પટેલે તત્કાલીન SP ડો. કરનરાજ વાઘેલાના નેતૃત્વ હેઠળ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદ અને CCTV ફૂટેજના આધારે પોલીસે માત્ર 19 દિવસમાં કેસની ચાર્જશીટ દાખલ કરી હતી. વાપી કોર્ટમાં કેસની સુનાવણી ચાલી હતી, જેમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આ મહત્વપૂર્ણ ચુકાદા બાદ વાપી DySP કચેરી ખાતે સ્પેશ્યલ સરકારી વકીલ નયન સુખડવાલા, સરકારી વકીલ અનિલ ત્રિપાઠી, તપાસ કરનાર PI મયુર પટેલ અને વલસાડ SP યુવરાજસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. વાપીના ડુંગરા વિસ્તારના સ્થાનિક અગ્રણીઓએ સરકારી વકીલ અને વલસાડ જિલ્લા પોલીસની ટીમને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કેસમાં ભોગ બનનાર બાળકીને ઝડપી ન્યાય અપાવવા બદલ પોલીસ અને ન્યાયતંત્રની કામગીરીને બિરદાવી હતી.
અમદાવાદના સૌથી વ્યસ્ત અને જુના કોટ વિસ્તારમાં પ્રવેશવા માટેનું દ્વાર ગણાતા એવા સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જવાના પગલે બ્રિજને નાગરિકો અને વાહનચાલકોની અવરજવર માટે બંધ કરાયો છે. આજે 5 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમ દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોન તેમજ સાબરમતી નદીમાં બોટ મારફતે નીચે જઈને ઇન્સ્પેક્શન કરવામાં આવશે. પાંચ દિવસ સુધી બંધ રહેનારા સુભાષબ્રિજ પરથી પસાર થનારા વાહનચાલકોને વૈકલ્પિક રસ્તા પરથી જવું પડશે. ડ્રોન મારફતે સ્પાનના અંદરના ભાગમાં તપાસ કરાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, આજે બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમ અને બ્રિજ કન્સલ્ટન્ટના અધિકારીઓના સાથે રાખીને બ્રિજનો જે તરફનો ભાગ બેસી ગયો છે, તેના સ્પાનમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે. જે તિરાડ પડી છે, તેની પણ તપાસ કરશે. બ્રિજ ઉપર રોડના સરફેસની તિરાડ છે કે કેમ? તે અંગે પણ તપાસ થશે. ડ્રોન મારફતે સ્પાનના અંદરના ભાગમાં તપાસ કરવામાં આવનાર છે. રાણીપ ડી-માર્ટ અને વાડજ સર્કલ પર વધુ ટ્રાફિક રહેશેસુભાષબ્રિજ બંધ થવાથી વાહનચાલકોને ડાયવર્ઝન રુટ તરીકે વાડજના દધિચી બ્રિજ પરથી શાહીબાગ અને દિલ્હી દરવાજા તરફ જવા માટે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો હોવાથી સૌથી વધારે ટ્રાફિક શહેરના રાણીપ ડી-માર્ટ અને વાડજ સર્કલ પર થશે. કારણ કે, આ એક જ રોડ પરથી વાહનચાલકો વધારે પસાર થશે. વાડજ સર્કલ પર બ્રિજ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે, જેના કારણે થઈને વાડજ સર્કલ પણ કેટલાક ભાગને વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. સુભાષબ્રિજ બંધ કર્યો હોવાના કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગથી વાડજ દધિચી બ્રિજથી સાબરમતી અને ચાંદખેડા તરફ આવનારા લોકોને વાડજના ગામમાં બસ સ્ટેન્ડ પાસે નીકળી શકાશે. કારણ કે, વાડજ સર્કલ પર બ્રિજનું કામ ચાલતું હોવાના કારણે પણ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકાશેચાંદખેડા અને સાબરમતી તરફથી આવતા વાહનો ચિમનભાઈ પટેલ બ્રિજ ઉતરી પ્રબોધરાવળ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ થઇ નવા બનેલા રોડ ઉપર થઈ વાડજ સર્કલથી દધિચી બ્રિજ ઉપર થઈ દિલ્હી દરવાજા, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જઇ શકશે. સાબરમતી અને ચાંદખેડા તરફથી આવતા વાહનો કે જેઓને સિવિલ તરફ જવું હોય તેઓ ભાટ-કોટેશ્વર રોડ થઈ ઇન્દીરાબ્રિજ થઈ એરપોર્ટ રોડ થઇ સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. શાહીબાગ તરફથી સુભાષબ્રિજ જવાનો વૈકલ્પિક રસ્તોશાહીબાગ તરફથી જેઓને સુભાષબ્રિજ તરફ જવું છે તે વાહન ચાલકો શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલવેબ્રિજ ઉપરથી નમસ્તે સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઇ મેલડી માતા સર્કલ થઈ દધિચી બ્રિજ થઇ વાડજ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ તરફ અવર-જવર કરી શકશે. જે વાહન ચાલકોને દિલ્હી દરવાજાથી આવું હોય તેઓ શાહપુર થઈ ગાંધીબ્રિજ પરથી આશ્રમ રોડ પાસે ઇન્કમટેક્સથી રિવરફ્રન્ટમાં ઉતરી અને વાડજ રિવરફ્રન્ટ બહાર નીકળીને રાણીપ ડી-માર્ટ તરફ જઈ શકશે. સુભાષબ્રિજ બંધ થતાં વૈકલ્પિક રૂટ જાહેર
ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લીલા લાકડાની હેરફેર કરતી બે પિકઅપ વાન જપ્ત કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ કાર્યવાહી કરી હતી. આ વાહનો કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લાકડાનું વહન કરી રહ્યા હતા. જપ્ત કરાયેલા બંને વાહનોને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો, 1951 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા પિકઅપ વાહનોના નંબર GJ-13-AX-5920 અને GJ-13-AX-3267 છે. વાહન માલિકોના નામ પ્રવીણભાઈ નાગરભાઈ સારલા અને રાજુભાઈ નાગરભાઈ સારલા છે, જેઓ પલાસા, તાલુકો મુળીના રહેવાસી છે. પિકઅપ વાહનોના ડ્રાઈવર જગમાલભાઈ દિલીપભાઈ દેકાવડિયા અને પ્રવીણભાઈ નાગરભાઈ સારલા છે. ઉપરોક્ત વાહન માલિકો અને વાહનચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો, 1951 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પીપળાવ પાસેના આશાપુરી માતાજી મંદિર પરિસરની આસપાસના લારી-ગલ્લાઓની તપાસ કરવામાં આવી હતી. વેચાણકર્તાઓને ખોરાક યોગ્ય અવસ્થામાં, સારી સ્વચ્છતા સાથે અને તાજો પીરસવા અંગે સૂચનાઓ અપાઈ હતી. ઉપરાંત, યોગ્ય સાફ-સફાઈ રાખવા, ગ્લોવ્ઝ અને કેપ પહેરવા તેમજ ફૂડ સેફ્ટીના કાયદાનું પાલન કરવા જણાવાયું હતું. આ તપાસ દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ પાપડીનો લોટ, દેરાણી જેઠાણી પાપડીનો લોટ, જય ખોડિયાર પાણીપુરી અને ભેળ, સત કેવલ પાણીપુરી, દરબાર ટી સેન્ટર, જય આશાપુરી પાપડીનો લોટ, જલારામ પાપડીનો લોટ, જય મહાકાલી નાસ્તા હાઉસ, પટેલ ગોટા હાઉસ અને જે. કે. નાસ્તા હાઉસ સહિતના સ્થળોની તપાસ કરાઈ હતી. અહીંથી ખાદ્ય પદાર્થના કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લાંભવેલ હનુમાનજી મંદિરની આજુબાજુના કુલ સાત લારી-ગલ્લા અને દુકાનોની તપાસ કરીને 4 નમૂના મેળવવામાં આવ્યા હતા. બોચાસણ સ્વામિનારાયણ મંદિરની આજુબાજુમાં આવેલા લારી, પાનના ગલ્લા અને બેકરી સહિત કુલ 10 પેઢીઓ ખાતે તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી 7 નમૂના લેવાયા હતા. આ દરમિયાન પાઉનો એક પેકેટનો જથ્થો બિનઆરોગ્યપ્રદ જણાતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર તપાસણી દરમિયાન, પાણીપુરીનો માવો અને પાણીપુરીનું પાણી સહિત કુલ 13 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. વેચાણકર્તાઓને પાપડીનો લોટ ઢાંકીને રાખવા અને આસપાસ સ્વચ્છતા જાળવવા પણ સૂચનાઓ અપાઈ હતી. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવાયેલા નમૂનાઓને પૃથક્કરણ અર્થે સરકારી ખાદ્ય પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા છે. તેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવાયું છે.
કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (5થી 7 ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ₹1506 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસ કાર્યોની ભેટ આપશે. વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો મકાનોનું લોકાર્પણ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-2025નો પ્રારંભ, બનાસ ડેરીના અનેક પ્લાન્ટનું ખાતમુહૂર્ત તથા સાબરમતી રિવરફ્રન્ટ પર BAPSના પ્રમુખ વરણી અમૃત મહોત્સવ સહિત 20થી વધુ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. તે સિવાય ગાંધીનગરમાં નાબાર્ડની અર્થ સમિટ, સ્વદેશોત્સવ અને બનાસકાંઠામાં મહિલા દુધ ઉત્પાદકો સાથે સંવાદ પણ કાર્યક્રમમાં સામેલ છે. અમિત શાહ 1506 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવવાના છે ત્યારે 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં 1506 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવશે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર તળાવનું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો માટે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અંતર્ગત 8 જેટલા સ્થળો ઉપર મુલાકાત લઇ નાગરિકોની સુવિધા માટે લોકાર્પણ કરશે. ગોતા દેવનગર પાસે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરશે અને જાહેર સભાને પણ સંબોધન કરવાના છે. PM આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રૂપિયા 1506 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત શહેરના થલતેજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 861 અને વાસણા વિસ્તારમાં 509 આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે નારણપુરા વિસ્તારમાં નટના છાપરા ખાતે ઝૂંપડપટ્ટી પુનઃ વિકાસના અંતર્ગત બનાવેલા મકાનોનું લોકાર્પણ અને ડ્રો કરશે. શહેરના બોપલ વિસ્તારમાં બનાવવામાં આવેલા ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું પણ લોકાર્પણ કરશે તેમજ રાણીપ બલોલનગર નીચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. નવા બગીચા, યોગ સ્ટુડિયો અને સ્પોટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આજે 5 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા યોજાનારા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા યોજાનાર અર્થ સમિટ 2025 ના સમાપન સમારોહમાં હાજરી આપશે. બપોરે ગાંધીનગરના તળાવના ઇન્ટરલિંગને લઈ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. બાદમાં બપોરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા નવા બગીચા, યોગ સ્ટુડિયો, સ્પોટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. સિંધુભવન રોડ ખાતે શોપિંગ ફેસ્ટિવલની શરુઆત કરાવશેસાંજે ગાંધીનગરના મોટી આદરજ પાસે પીએનજી ગેસ લાઇન, નવા આરોગ્ય ભવન અને નવી પ્રાથમિક તેમજ કન્યા શાળાનું લોકાર્પણ કરશે. સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદના નારણપુરા ખાતે વીર સાવરકર કોમ્પ્લેક્સમાં સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. બાદમાં સાંજે 6:30 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નું સિંધુભવન રોડ ખાતેથી શરૂઆત કરાવશે. આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ ખાતે જશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસમાં 6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ ખાતે પણ જશે. સણાદર ખાતે બનાસ ડેરીના બાયો સીએનજી, પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. બટાટા પ્લાન્ટની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવશે. સોઇલ ટેસ્ટિંગ લેબની વર્ચ્યુઅલ નિરીક્ષણ અને એડમીન બ્લોક રેડિયો સ્ટેશનની પણ મુલાકાત લેશે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની પણ મુલાકાત લેવાના છે. સહકારીતા મંત્રાલયની એક બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે ત્યારબાદ સાંજે લાખણી ખાતે બનાસ ડેરીના નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટની મુલાકાત લઇ મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરશે. પાલનપુર ખાતે મધ, ઓઇલ અને આટા પ્લાન્ટ વગેરેની પણ મુલાકાત લેશે. 7 તારીખે પણ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 7 ડિસેમ્બરના રોજ અમદાવાદના ગોતા દેવનગર ખાતે બપોરે 2 વાગ્યે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત જાહેર સભાને સંબોધન કરવાના છે જેમાં આશરે 10,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. બપોરે એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત એ ચૂનોતીયાં મુજે પસંદ હેની ગુજરાતી આવૃત્તિનુ વિમોચન કરવાના છે. સાંજે 6.30 વાગ્યે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજવામાં આવેલા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.
દુર્ઘટનાની ભીતિ:કદવાલ જૂના બસ સ્ટેશનની બાજુમાં આવેલી ટાંકી પડવાની અવસ્થામાં
છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના જૂના બસસ્ટેશનની બાજુમાં આવેલ ટાંકી પડવાની અવસ્થામાં હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કદવાલ તાલુકાના જૂના બસ સ્ટેશન તરફ આવેલી ટાંકી પડવાના સંકેતોમાં જોવા મળી રહી છે. આની ઉંચાઈ એટલી બધી છે કે સ્થાનિકો માં તો હવે ભયનો માહોલ ઉભો થયો છે. આ કદવાલ જુના બસ સ્ટેશનની ટાંકી ભૂતકાળના સમય ગાળા દરમિયાન આશરે 45થી વધુ વર્ષ થઈ ગયા છે. એવું ગ્રામલોકો જણાવી રહ્યા છે. આ ટાંકીના સિમેન્ટના પોપડા પણ દિન પ્રતિ દિન ઉપરથી નીચે સુધી ઉખડી પડતા હોય છે. અને ચારો કોર સ્થાનિકોનો જીવ જાણે અધર થતો જાય છે. સ્થાનિક ગ્રામ લોકોનું એવું પણ કહેવું છે. આ અંગેનો અહેવાલો પ્રસિદ્ધ થયા હતા ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પાણી પુરવઠા વિભાગમાંથી પણ આ ટાંકીને તોડવા માટે કોઈ અધિકારી અમારા જોડે આવ્યા હતા. અમને બધી પૂછ પરછ કરી હતી. ટાંકી તોડવા માટે સહી કરાવી હતી . હાલ તો કેટલો સમય અને મહિના થઈ ગયા છે. હવે તો ટાંકીના ઉપરથી લઈ નીચે સુધી સિમેન્ટના પોપડા નાના-મોટા પડી રહ્યા છે.હવે નવીન કદવાલ તાલૂકો બન્યો છે . અને કદવાલ જુના બસ સ્ટેશનની બાજુમાં આવેલ ટાંકી પોપડા ઉખડીને પડે છે. ત્યારે તાત્કાલિક ધોરણે સરકારીના અધિકારીઓ આ ટાંકીને તોડવાની કઈ પગલાં લે એવી કદવાલ જૂની ટાંકીની ચારો કોર રહેતા સ્થાનિક ગ્રામ લોકોની માંગ ઉઠી છે. નહીં તો તાત્કાલિક પગલાં નહીં લેવાયા અને જૂની ટાંકીમાં કઈ પણ જીવ આવી ગયો અને અચાનક ટાંકી પડી અને જીવતા માણસોનો જીવ લીધો અને કઈ પણ મોટી હોનારત થઈ તો એનો જવાબદાર કોણ રહશે ?
દબાણ કરાયા દૂર:છોટાઉદેપુરમાં ટ્રાફિકને નડતરરૂપ 170 જેટલા દબાણો દૂર કરાયાં
છોટાઉદેપુર નગરમાં દબાણોને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. નગર પાલિકા તંત્ર દબાણો દૂર કરે અને પુનઃ પાછા જે સે છે તેવી સ્થિતિ થઈ જાય છે. કા તો પાલિકા તંત્રને કોકની શરમ નડતી હોય કે પછી દબાણ કરતા વેપારીઓ પાલિકાને ગાંઠતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ગુરુવારે છોટાઉદેપુર નગરમાં ફરી દબાણો હટાવવા અંગેની કાર્યવાહી પોલીસ કાફલા સાથે શરૂ કરવામાં આવી હતી. 170 જેટલા દબાણો દૂર કરાયા હતા. જેમાં નગરમાં ઝંડા ચોકથી માણેક ચોક સુધી તેમજ કુસુમ સાગર તળાવની આસપાસ બેઠેલા મરી મસાલા અને શાકભાજીના વેપારીઓને મુખ્યમાર્ગ ઉપરથી હટાવી જીઇબી કમ્પાઉન્ડમાં વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળ ઉપર ખસેડાયા હતા. છોટાઉદેપુર નગરમાંથી ગૌરવ પથ ઉપર ઝંડા ચોકથી માણેક ચોક સુધી જવું હોય તો વાહન ચાલકોને તકલીફ અને મુશ્કેલીનો સામનો ટ્રાફિકની સમસ્યાઓને કારણે કરવો પડે છે. પથારા કરીને બેસતા વેપારીઓ રોડ સુધી આવી જાય છે અને વાહન ચાલકોને અડચણરૂપ બને છે. જેની ઘણી બધી ફરિયાદો પાલિકા તંત્રને મળતી રહે છે. દબાણ કરતા વેપારીઓને જીઈબી કેમ્પસમાં ખસેડાયા છે ગુરુવારે નગર પાલિકા ઝંડા ચોક ખાતેથી લઈ માણેક ચોક સુધીના નડતર રૂપ દબાણો દૂર કરી તે વેપારીઓને જીઇબી કેમ્પસમાં ખસેડાયા છે. આવનારા સમયમાં પણ નગરના વિકાસ અર્થે નડતર રૂપ દબાણો અંગે કડક પગલાં ભરવામાં આવશે. આશા રાખીએ છે કે નગરના વિકાસ માટે સર્વે વેપારીઓ પાલિકાને સાથ સહકાર આપશે. > ભાવિનભાઈ બરજોડે, ચીફ ઓફિસર, છોટાઉદેપુર નગરપાલિકા
ચોરીનો મામલો:ગોધરાના ઉર્દુ સ્કૂલની સામેના મકાનમાંથી 1.13 લાખની તસ્કરી કરાઇ
ગોધરા શહેરની ઉર્દુ સ્કૂલની સામે રહેતા અને વેલ્ડીંગનો વ્યવસાય કરતા ફિરદોસ ફારુક ગરીબાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. તેઓના રહેણાંક મકાનના રૂમમાં મૂકેલી તિજોરીનું ડ્રોવરમાં સોનાની બુટ્ટી, ચાંદીની ચાર બંગડીઓ, સોનાની કડીઓ તથા ગ્રાહક પાસેથી વેલ્ડિંગના કામ માટે એડવાન્સ પેટે લીધેલા રૂા.90 હજાર પણ તિજોરીમાં મૂકી રાખેલા હતા. ત ્કરોએ તીજોરીનો ડ્રોવર તોડીને અંદર મુકેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયા મળી કુલ રૂા.1.13 લાખની મત્તાની ચોરી કરી લઈ કરીને નાસી ગયા હતા. આ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:બાઇક પરથી ફંગોળાયેલી મહિલાનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ
છાલોર ગામે બમ્પના કારણે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. વટલી ગામના કિરીટભાઈ નીનામા બાઇક નંબર GJ-20-Q-6234 પર વટલી ગામના મહેશભાઈ નીનામા અને નવાતળાવ ગામના નવલીબેન પારગીને બેસાડીને જગોલાથી ફતેપુરા તરફ જઈ રહ્યા હતા. બપોરના આશરે 1.30 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ છાલોર ગામના પટેલ ફળિયામાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઇક વધુ ઝડપમાં હોવાથી રસ્તા પરના બમ્પ પરથી બાઇક જોરદાર ઉછળી હતી. બાઇક ઉછળવાના કારણે પાછળ સવાર મહેશભાઈ અને નવલીબેન બાઇક ઉપરથી ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. બાદમાં બાઇક સ્લીપ ખાઈ જતાં ચાલક કિરીટભાઈને પણ ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ ત્રણે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા નવાતળાવ ગામના નવલીબેન પારગીનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે નવાતળાવ ગામના હુમાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે બાઇક ચાલક કિરીટભાઈ નીનામા વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
આચાર્યોની વિશેષ રિવ્યૂ બેઠક યોજાઈ:છાત્રોના માનસિક- પ્રેરણાત્મક પાસાઓ પર પણ ધ્યાન જરૂરી
દાહોદ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓના પરિણામો સંતોષકારક ન આવવાના કારણે શિક્ષણ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવાઇ છે. આવનારા સમયમાં ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષાના પરિણામો સુધારવાના નક્કર આયોજનના ભાગરૂપે અવંતિકા રિસોર્ટ જાલત ખાતે એક મહત્વની માર્ગદર્શન અને રિવ્યૂ બેઠક યોજી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત આ બેઠકમાં દાહોદ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યો હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉપસ્થિત સૌ આચાર્યોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમનું મુખ્ય ધ્યેય હતું કે તમામ શાળાઓ ગેરરીતિ શૂન્ય અને 100% પરિણામના ધ્યેય સાથે આગામી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે. બેઠક દરમિયાન ડીડીઓ સ્મિત લોઢાએ વિદ્યાર્થીઓના શિક્ષણના મહત્વના પાસાઓ પર ચર્ચા કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ કલેક્ટર યોગેશ નિરગુડેએ પોતાની આગવી અને પ્રેરક શૈલીમાં આચાર્યોને માર્ગદર્શન આપ્યું હતું.આગામી બોર્ડની પરીક્ષામાં દાહોદ જિલ્લાનું પરિણામ નોંધપાત્ર રીતે સુધરે તે માટે સામૂહિક પ્રયાસો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભાસ્કર ઇનસાઇડઆ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયુ રિવ્યુ બેઠકમાં ખાસ કરીને બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયુ હતું. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે કેવી રીતે વધુ રસ દાખવતા કરી શકાય. જેથી તેઓ શિક્ષણમાં સફળતા તરફ આગળ વધે અને વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરી શકાય અને તેમને આત્મવિશ્વાસ સાથે સફળતા તરફ દોરી શકાય. જિલ્લાના પરિણામને સુધારવા માટે આચાર્યોએ માત્ર શૈક્ષણિક પાસાઓ પર જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના માનસિક અને પ્રેરણાત્મક પાસાઓ પર પણ ધ્યાન આપીને સઘન પ્રયાસો કરવા પડશે તેવી ટકોર કરાઇ હતી.
હુમલો:ઘુસરમાં રેતીનું ટ્રેકટર રોકવા મુદ્દે 4 લોકોએ હુમલો કરતા બેને ઇજા
કાલોલના ઘુસર ખાતે બુધવારે વહેલી સવારે રામદેવ મંદિર નજીક રોડ ઉપર સરપંચના પતિ દિનેશભાઈ બારીયા તથા આગેવાનોએ રેતી ભરેલું ટ્રેક્ટર પકડી પાડ્યું હતું. જે જોવા માટે વિપુલસિંહ સોલંકી પણ ગયો હતો. જે ટ્રેક્ટર વેજલપુરના મોહસીન ઘાંચીનુ હતું ડ્રાઈવર ટ્રેકટર મૂકી નાસી ગયો હતો. ત્યારે સુમિતભાઈ રાઠોડનો વિપુલસિંહ પર ફોન આવેલ અને તું ઘુસર ચોકડી પર આવી જા અમારે તારી સાથે વાત કરવી છે. એ જ પ્રમાણે વિપુલસિંહના મિત્ર યુવરાજસિંહ બારીયા પર પણ મોહસીનનો ફોન આવ્યો હતો. જેથી બંને ભેગા મળીને ઘુસર ચોકડી ઉપર અલ્તાફભાઈના રેતીના પ્લાન્ટ નજીક ગયા હતા. ત્યાં સુમિતભાઈ રાઠોડ તથા મોહસીન ઘાંચી તથા મેહુલભાઈ ભરવાડ અને વિક્રમભાઈ ભરવાડ હાજર હતા. ચારે જણા રેતી ભરેલા ટ્રેક્ટર રોકવાની અદાવતે ગાળો બોલવા લાગ્યા હતા. ઉશ્કેરાઈ જઈને યુવરાજને મારમારતા લોહી નીકળ્યું હતું. વિપુલસિંહ છોડાવવા પડતા મોહસીન ઉર્ફ ઢબલાએ લોખંડની પાઇપ મારી દીધી હતી. તમામ ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. જ્યારે બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે ગોધરા સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે વેજલપુર પોલીસ મથકે વિપુલસિંહ સોલંકીએ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
બ્રધર્સ હાઈસ્કૂલમાં વાલી મીટિંગ:છાત્રોને માનસિક દબાણ ન રહે તેની કાળજી રાખવા વાલીઓને અનુરોધ
લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર સ્થિત એમ એન્ડ એન બ્રધર્સ હાઈસ્કૂલમાં આવનારી બોર્ડ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાગૃત કરવા વિશેષ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા નજીક આવતી તારીખોને લઈ વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ ઉચાટ જોવા મળતો હોવાથી આ બેઠક દ્વારા બંનેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મિટિંગ દરમિયાન શાળાના આચાર્ય તથા સ્ટાફોએ વિદ્યાર્થીઓમાં શિસ્ત, નિયમિત અભ્યાસ, સમયપાલન અને પરીક્ષા દરમિયાન અનુસરવાની જરૂરી સુચનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. બોર્ડ પરીક્ષા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનું માનસિક દબાણ ન રહે તેની ખાસ કાળજી રાખવા વાલીઓને અનુરોધ કર્યો હતો. શાળાના શિક્ષકોએ વાલીઓને સૂચના આપી હતી કે પરીક્ષા દિવસોમાં બાળકોને ભાવનાત્મક અને માનસિક સહારો પૂરું પાડે તેમજ પરીક્ષા કેન્દ્રની આસપાસ ભીડ ન કરવી જોઈએ. વાલીઓને એ પણ સમજાવવામાં આવ્યું કે પરીક્ષા દરમ્યાન ખાલી બેસી રહેવા કે સમય બગાડવા કરતાં પોતાના રોજિંદા કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરે તો વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈને પરીક્ષા આપી શકશે. આ મિટિંગ દ્વારા વાલીઓએ પરીક્ષા નિયમો, વિદ્યાર્થી જીવનના ઘડતર અને બાળકોની શૈક્ષણિક પ્રગતિ અંગે મહત્વપૂર્ણ માહિતીઓ મેળવી હતી. મોટી બંડીબારની શાળામાં બોર્ડ પરીક્ષાના માર્ગદર્શન માટેની વાલિ મિટિંગમાં ઉપસ્થિત વાલિઓમાં માતાઓની વિશેષ હાજરી રહી હતી. બાળકોને માનસિક સહકાર આપવા માતાઓની પ્રતિબદ્ધતાબોર્ડ પરીક્ષા મુદ્દે યોજાયેલી વાલિ મિટિંગમાં માતાઓએ ખાસ ઉત્સાહ સાથે હાજરી આપી હતી. તેઓએ બાળકોના ભવિષ્ય અને અભ્યાસ સંદર્ભે શિક્ષકો પાસેથી માર્ગદર્શન ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.માતાઓએ પરીક્ષા દરમ્યાન બાળકોને માનસિક સહકાર આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મિટિંગમાં માતાઓની વધેલી હાજરીએ શાળાના આયોજનને વધુ સકારાત્મક બનાવ્યું હતું.
દાહોદમાં તાલીમી અધિકારીઓને પ્રાથમિક સમજ અપાઇ:વિભાગીય કામગીરી હેઠળના કામો અંગે માહિતી મેળવશે
દાહોદ જિલ્લાના પ્રવાસે તાલીમ અર્થે આવેલા અધિકારીઓ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ તાલીમી અધિકારીઓને જિલ્લાની વહીવટી પ્રણાલી અને સામાજિક માળખાથી પરિચિત કરાવવાનો હતો. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલીમી અધિકારીઓને જિલ્લાના વિવિધ વિભાગો તરફથી કરાતી કામગીરીની બેઝિક જાણકારી આપી હતી. હવે, પ્રવાસાર્થે આવેલા આ તાલીમી અધિકારીઓ જિલ્લાના વિવિધ તાલુકાઓની રૂબરૂ મુલાકાત લેશે અને ફિલ્ડ વિઝિટ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ સંસ્થાઓ અને વિભાગીય કામગીરી હેઠળના કામો અંગે વિગતવાર માહિતી મેળવશે. જેમાં મુખ્યત્વે શાળાઓ, આંગણવાડીઓ, સસ્તા અનાજની દુકાનો, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ તેમજ પ્રવાસીય સ્થળોનો સમાવેશ થાય છે. પુસ્તકીય જ્ઞાન સાથેજમીની સ્તરના પડકારોસમજવા મોકલ્યાઆ તાલીમી અધિકારીઓ સામાન્યરીતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા લેવાતી સિવિલસર્વિસ પરીક્ષા પાસ કરીને તાજેતરમાંજ ભરતી થયેલા અધિકારીઓ છે.આ અધિકારીઓ તેમની એકેડેમિકતાલીમ પૂર્ણ કર્યા પછી જિલ્લા સ્તરેવાસ્તવિક અનુભવ મેળવવા માટેઆવ્યા છે. તેમને સરકારીયોજનાઓ, વહીવટી પ્રક્રિયાઓ,જનસંપર્ક, કાયદા-વ્યવસ્થા, અનેગ્રામીણ સમસ્યાઓનું પ્રત્યક્ષ જ્ઞાનમળે તેઓ જમીની સ્તરના પડકારોસમજતા થાય તે માટે દાહોદમોકલવામાં આવ્યા છે.
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓના હજારો રહિશો પાલિકાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યા છે. છેલ્લા 1 સપ્તાહથી જલારામ સોસાયટી, હજારીયા સોસાયટી, નરસીંગ કોલોની અને ઉમરાવાલાની ચાલ સહિતના વિસ્તારોમાં કચરા કલેક્શનની ગાડી ન આવતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. દૈનિક ધોરણે ઘરોમાંથી નીકળતો કચરો હવે સોસાયટીઓની અંદરની ગલીઓમાં એકઠો થઈ રહ્યો છે. કચરાના ઢગલાઓમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે. વધુમાં કચરાના સડવાથી મચ્છરો અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. જે બાળકો અને વડીલોમાં રોગચાળાનો ગંભીર ભય પેદા કરી રહ્યો છે. રહિશોના જણાવ્યા મુજબ અનેક વખત મૌખિક અને ફોન દ્વારા ફરિયાદ કરવા છતાં નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી. સ્થાનિક લોકોએ વેરો ભરવા છતાં આવશ્યક સેવાઓ ન મળતા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. રહિશોએ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે કચરા કલેક્શનની વ્યવસ્થા પૂર્વવત્ કરવા અને સમગ્ર વિસ્તારની સફાઈ કરવા માટે ઝુંબેશ હાથ ધરવાની માંગણી કરી છે. ગાડી બગડતાં બંધ હતી ગાડી બગડી ગઇ હતી. જેના કારણે ચાર પાંચ દિવસથી બંધ હતી. ગાડીની વ્યવસ્થા થતાં આજથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. - બીજલભાઇ ભરવાડ, કાઉન્સીલર
નવી કરન્સી મેગા કેમ્પનું આયોજન:સંજેલી BOB ખાતે RBI દ્વારા નવી કરન્સી મેગા કેમ્પ યોજાયો
સંજેલી બેન્ક ઓફ બરોડા ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ કોઈન અને નોટ એક્સચેન્જનો મેગા કેમ્પ યોજાયો. સામાન્ય રીતે હોળી અને દિવાળીના તહેવારો દરમિયાન નવી કરન્સી ઉપલબ્ધ થતી હોય છે, પરંતુ આ વર્ષે RBI દ્વારા ખાસ ફાળવણી કરાતાં સંજેલી બ્રાન્ચમાં 1, 2, 5, 10 અને 20 રૂપિયાનાં સિક્કા તથા 10, 20 અને 50 રૂપિયાની કુલ સાડા 6 લાખની ચલણી નોટો ખાતેદારોને ઉપલબ્ધ કરાવી હતી. બ્રાન્ચ મેનેજર , કેશિયર અને જોઈન્ટ મેનેજર ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં સંજેલી તથા તાલુકાના ગામોની બેન્ક ઓફ બરોડાના ખાતેદારો, વેપારીઓ, સેવા કેન્દ્ર ધારકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
યોગ ટ્રેનર તાલીમ વર્ગનું આયોજન:દે. બારિયાના મહારાજા જયદીપસિંહ ઉદ્યાનમાં યોગ ટ્રેનર તાલીમ વર્ગ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મહારાજા જયદીપસિંહ ઉદ્યાનમાં યોગ કોચ રવેસીંગભાઈ દ્વારા જિલ્લા કો-ઓર્ડિનેટર રાહુલકુમાર પરમારની હાજરીમાં યોગ ટ્રેનર તાલીમ વર્ગ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગામના લોકો વહેલી સવારે યોગ શિક્ષકની તાલીમ નિઃશુલ્ક લઇ રહ્યા છે. ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ આ તાલીમ ચલાવવામાં આવી રહી છે. જેનો મુખ્ય હેતુ લોકોને સ્વસ્થ અને નિરોગી રાખવાનો છે. દેવગઢ બારીયા વિસ્તારના યુવાનો અને યુવતીઓ આ તાલીમ પૂર્ણ કરી અલગ અલગ વિસ્તારમાં યોગ વર્ગ શરૂ કરશે. લોકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવાના પ્રયાસો કરશે. આવનાર સમયમાં દરેક ગામ સુધી યોગ વર્ગ શરુ થાય તેવો લક્ષયાંક છે તે માટે આવા તાલીમ વર્ગ દાહોદ જિલ્લામાં શરુ કરેલ છે.આ તાલીમ લીધા પછી શૈક્ષણિક સંસ્થાઓ, શાળા કોલેજો, આયુર્વેદિક હોસ્પિટલો, સરકારી, અર્ધ સરકારી, ખાનગી જગ્યાઓ ઉપર સેવા આપી સ્વરોજગારી મેળવી શકશે. દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં કોચો દ્વારા કુલ 7 જગ્યાઓ ઉપર તાલીમ વર્ગ શરુ કરવામાં આવેલ છે. જેમાં દાહોદ-2, સંજેલી-1, લીમડી-1, સુખસર-1, દેવગઢ બારીયા-1, ધાનપુર-1, તેમજ આવનાર સમયમાં બીજા તાલુકાઓમાં પર આવી યોગ ટ્રેનર તાલીમ કક્ષાઓ શરુ કરવામાં આવશે. જિલ્લા કો-ઓર્ડીનેટર રાહુલકુમાર પરમાર તેમજ ધુળાભાઈ પારગીની દેખરેખ હેઠળ આ તમામ યોગ ટ્રેનર તાલીમ વર્ગ અને યોગ કક્ષાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
પાક નુકશાની સહાય:5201 ખેડૂતોને પાક સહાય પેટે 6.87 કરોડનું ચૂકવણુ
ઓક્ટોબર-નવેમ્બરમાં પડેલા કમોસમી વરસાદથી દાહોદ જિલ્લાના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. ખાસ કરીને મકાઈ, ડાંગર, સોયાબીન જેવા પાકોને ભારે અસર થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ 698 ગામોમાં 55 હજાર હેક્ટરનો સર્વે કરાયો હતો. તેની સામે નુકસાનના વળતર માટે ખેડૂતો દ્વારા 70,536 અરજીઓ કરાઇ હતી. અરજીઓ સાથેના સાધનિક કાગળોની તપાસણી પુરજોશમાં ચાલુ હોવાથી 11,955 મંજૂર કરી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે ખેડૂતો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. વહીવટી તંત્રના આંકડા મુજબ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 70,536 ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજીઓ નોંધાવી છે. આટલી મોટી સંખ્યામાં આવેલી અરજીઓની ચકાસણી અને ખરાઈની કામગીરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 11,955 અરજીઓના લાભાર્થી ખેડૂતોને 6 કરોડ 87 લાખની સહાય ચૂકવાઇ છે. ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ઓર્ડર જનરેટ થયા બાદ સહાયની રકમ મળે છે PFMS દ્વારા નાણાં ચૂકવવાની પ્રક્રિયામાં મુખ્યત્વે આધાર કાર્ડ અને NPCI ની ભૂમિકા મહત્ત્વની હોય છે. પ્રક્રિયાને આધાર પેમેન્ટ બ્રિજ સિસ્ટમ તરીકે પણ ઓળખે છે. NPCI ની સિસ્ટમમાં લાભાર્થીનો આધાર નંબર તેના કયા બેંક ખાતા સાથે જોડાયેલો છે તેનું મેપિંગ કરે બાદ NPCI તે લાભાર્થીની બેંકને સૂચના આપે છે અને NPCI તરફથી સૂચના મળતા ખેડૂતના ખાતામાં સીધી રકમ જમા થઇ જાય છે.
પેટ્રોલ પંપ નજીક બનેલી ઘટના:વીજ વાયર તૂટ્યો, કરંટ લાગતા ઉછળી બળદ ફરી જીવંત વાયર પર પડતાં મોત
દે. બારિયાના જકાતનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ નજીક જીવંત વીજ વાયર તૂટી પડવાથી નીચે ઘાસ ચરી રહેલા એક બળદનું મોત નીપજ્યું હતું. જીવંત વીજ વાયર અચાનક તૂટી પડ્યો હતો. જે સીધો બળદ પર પડતાં બળદ ઊછળ્યો હતો. જોકે ઊછળીને ફરી એ જ વીજ વાયર પર પડ્યો હતો, જેથી તડફડીયા ખાવા લાગ્યો હતો અને તેનું મોત થયું હતું. નજીકમાં આવેલી કામધેનુ ગૌશાળાના સેવકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે સૌપ્રથમ એમજીવીસીએલનીની સ્થાનિક ઓફિસને ફોન કર્યો હતો. સ્થાનિક ઓફિસે માત્ર પાવર સપ્લાય બંધ કર્યો હતો પરંતુ તૂટી પડેલા વાયરને તાત્કાલિક ત્યાંથી હટાવવાની કામગીરી કરી ન હતી. ભાસ્કર ઇનસાઇડગોધરા સર્કલ ફોન કરતાં વાયર દૂર કરાયો બળદને સારવાર મળી શકે તે માટે ગૌસેવકોએ પશુ ચિકિત્સકોને પણ બોલાવ્યા હતા. જોકે, વીજ વાયર બળદ પર પડેલો હોવાથી તેને સારવાર આપી શકાય તેમ નહોતું. સ્થાનિક કચેરી તરફથી સંતોષકારક પ્રતિભાવ ન મળતાં ગૌસેવકોએ ગોધરા સર્કલ ઓફિસમાં ફરીવાર ફોન કર્યા બાદ જ કર્મીઓ પહોંચ્યા હતા.
પંચમહાલમાં 13.48 લાખ મતદારમાંથી 13.21 લાખ મતદારોની કામગીરી પૂર્ણ કરી ડિઝીટાઇઝેશનની 98 ટકા કામગીરી થઇ છે. SIRની કામગીરીમાં 5 વિધાનસભામાંથી 48117 મૃતક મતદારો મળ્યા છે. જ્યારે ડબલ નામવાળા 6394 મતદારો, શીફટ થયેલ 48388 મતદારો સહિત કુલ 1.12 લાખ મતદારો નામ મતદાર યાદીમાંથી નામ હટી શકે છે. નો મેપીંગવાળા મતદારોના નામ શોધવા તથા પુરાવા એકત્રીક કરાશે. છેલ્લા નો મેપીંગ મતદારોને નોટીસ આપી પુરાવા સાથે હાજર રહેવા જણાવાશે. ત્યારે 1.12 લાખ મતદારોના નામ કમી થશે તો 12.36 મતદાર રહેવાની શકયતા છે. પંચમહાલમાં મતદારયાદી સુધારણમાં 1479 બીએલઓ સાથે સહાયક મુકતા SIRની કામગીરી ઝડપી બનતા કુલ 13,48,847 મતદારોમાંથી 12,08,971 ફોમ અપલોડ કરતા 90 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જ્યારે બીજુ બાજુ BLO ધરે ધરે SIRના ફોર્મ લેવાં જતાં લ્લાની 5 વિધાનસભામાંથી 48117 મતદારો મૃતક નીકળ્યા છે. તેમજ 8706 મતદારો ગેરહાજર, 48388 મતદારો અન્ય જગ્યાએ શીફટ થયા છે. બીએલઓની કામગીરીમાં 6394 મતદારોના નામ ડબલ મળ્યા છે. જ્યારે 869 મતદારોએ અન્ય કારણો કે પછી SIRના ફોર્મ ભર્યા નથી. આમ કુલ 13.48 મતદારોમાંથી 13.21 ટકા મતદારોની માહીતીના આધારે ડિઝીટાઇઝેશનનુ કામ 98 ટકા પૂર્ણ થઇ છે. એસઆઇઆરની કામગીરીમાં કુલ 1.12 લાખ મતદારોઓ મૃતક, શીફટ, ગેરહાજર, ડબલ નામ વાળા હોવાથી આવા 1.12 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટી શકે તેમ છે. જ્યારે જિલ્લામાં નો મેપીંગનો આંકડો 4 ડીસેમ્બર સુધી 72488 છે. આ નો મેપીંગ વાળા મતદારોને છેલ્લે ચુંટણી વિભાગ નોટીસ આપીને પુરાવા સાથે હાજર રહેવાનું કહેશે. અને તેમાં પુરાવા યોગ્ય નહિ આવે તો નો મેપીંગમાંથી આધાર પુરાવા નહિ આપનાર મતદારોના નામ કમી થઇ શકે છે. પંચમહાલની 5 વિધાનસભા મત વિસ્તારમાંથી મૃતક, ડબલનામ, શીફટ થયેલા સહિતના 1.12 લાખ મતદારોના નામ કમી થાય તો જિલ્લામાં 12.36 લાખ મતદાર રહેશે. 6394ના નામ 2 યાદીમાં મળ્યા5 વિધાનસભામાં બીએલઓની કામગીરી દરમ્યાન 8706 મતદાર ગેરહાજર મળ્યા છે. તપાસમાં 6394 મતદારોના નામ ડબલ વખત મળ્યા છે. એટલે મતદારોના બે યાદીમાં નામ ચાલતા હોય તેવા મતદારો જે સ્થળે રહેવા માંગતા હોય તેના સિવાય સ્થળની યાદીમાંથી 6394 મતદારોના નામ કમી થશે. 869 મતદારો એવા છે કે જેઓ ફોર્મ ભરવાની ના પાડી હોય કે ફોર્મ ભર્યા ન હોય તેવાને આખરી તક આપ્યા બાદ નામ કમી થઇ શકે છે. હાલોલમાંથી 12517 મૃતક મતદારો મળી આવ્યાSIRની કામગીરીમાં મૃતકોના આંકડો ચોકાવનારો મળ્યો છે. 5 વિધાનસભામાં 48117 મતદારો મૃતક મળ્યા છે. જેમાં શહેરા 8518, મોરવા(હ) 6030, ગોધરા 11152, કાલોલ 9846, હાલોલ 12517 મૃતક મતદારો મતદાર યાદીમાંથી મળ્યા છે. 5 જિલ્લાના 48117 મૃતક મતદારોના નામ મતદાર યાદીમાંથી હટી જશે.
દારૂ ઝડપાયો:4 લાખના દારૂ તથા કાર સાથે બેની ધરપકડ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી મેગજીન વગામાં મરઘા ફાર્મ નજીક ખેતર દારૂના કટીંગ વખતે જ દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂ અલગ અલગ બ્રાન્ડ ની 840 બોટલ મળી 4.04 લાખ રૂપિયા નો દારૂ જપ્ત હતો. એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર પી.જી ચાવડા અને ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આંબોલી ગામના મેગજીન વગામાં મરઘા ફાર્મ નજીક ખેતરમાં કારમાંથી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહયો છે. પોલીસે દરોડો પાડતાં ખેતરમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 840 બોટલ મળી આવી હતી. જેની કિમંત 4 લાખ રૂપિયા થવા જાય છે. કાર સહિત કુલ 6.69 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. સ્થળ પર થી પોલીસે કૈલાપ ઉર્ફે લાલો વસાવા અને યુવરાજ બારૈયાની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછ માં આંબોલીના અરવિંદ ઉર્ફે અચીન વસાવા અને હાંસોટના પાંજરોલીની સંધ્યા પટેલ દારૂ આપ્યો અને આપવાનો હોવાની કબુલાત કરતા પોલીસે તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષએ આક્ષેપો કર્યા:આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખને બરતરફ કરો : ભાજપ
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ નિરંજન વસાવાના ભાઇ દારૂ સાથે ઝડપાયા બાદ ભાજપને આપ પર પ્રહારો તેજ કર્યા છે. નિરંજન વસાવાએ દારૂ પ્રકરણમાં ભાજપના નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પર ગંભીર આક્ષેપો કરતો વિડિયો સોશિયલ મિડીયામાં મુકતા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે, નિરંજન વસાવા પહેલાં ભાજપમાં હતાં પણ ભાજપના નામે ઉઘરાણી કરતાં હોવાથી તેમને હાંકી કાઢવામાં આવ્યાં હતાં. બાદમાં તે બીટીપીમાં જોડાયાં હતાં. હાલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ત્યાં પણ ચૈતરભાઈના નામે ઉઘરાણું કરી રહયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નિરંજન વસાવા પર અગાઉ 10 કેસ થયા છે. નિરંજન વસાવા પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા આવનાર ડીગ્રી ચોર છે. તેની પાસે ગ્રેજ્યુએટ ની ડિગ્રી હોય તો બતાવે, મોટા બંગલા અને હોટેલો બનાવી છે પણ તેમાં વીજળી કરતા ઝડપાયા છે.
રાષ્ટ્રીય એકતા માર્ચના આગમન પહેલાં રાજપીપળામાં સફાઇ અભિયાન વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. યુનિટી માર્ચ જે માર્ગ પરથી પસાર થવાની છે તેને ચોખ્ખા ચણાક બનાવી દેવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય યુનિટી માર્ચનું નર્મદા જિલ્લામાં આગમન પૂર્વે રાજપીપલા નગરમાં સ્વચ્છતાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરના રસ્તાઓ અને જાહેર સ્થળોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે સ્વચ્છતાકર્મીઓ સતત કાર્યરત છે. યુનિટી માર્ચ અને તેને અનુલક્ષીને યોજાતી તમામ ઉજવણી માટે પર્યાવરણ અનુકૂળ રહે. સ્વચ્છતા કર્મીઓ અને સ્વયંસેવકોની સતત મહેનત શહેરને સ્વચ્છ બનાવવામાં અસરકારક સાબિત થઈ છે. તેમના કાર્યને નગરજનો અને વહીવટી તંત્ર તરફથી બિરદાવવામાં આવ્યું છે. તેમની જવાબદારી પૂર્વકની કામગીરી, સંપૂર્ણ પ્રજાને સ્વચ્છતા તરફ પ્રેરણા આપતી દેખાય છે અને રાષ્ટ્રીય યુનિટી માર્ચના મહત્વપૂર્ણ અવસરને સફળ બનાવવા મુખ્ય યોગદાન આપી રહી છે. યુનિટી માર્ચ જે માર્ગ પરથી પસાર થવાની છે ત્યાં રસ્તાઓ પરથી ધૂળ હટાવવાની સાથે ડીવાઇડર અને રેલિંગ પણ સાફ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય યુનિટી માર્ચનું કેવડિયા કોલોની ખાતે સમાપન થશે.
દર્દીઓને રાહત:નર્મદામાં સિકલસેલના દર્દીઓ માટે રાજય સરકારે રૂપિયા 1 કરોડ ફાળવ્યાં
નર્મદા જિલ્લા 11 માસથી સહાયથી વંચિત રહી જતા સિકલસેલ અને એનિમિયાનાં દર્દીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. આ મુદ્દે દિવ્યભાસ્કરના એહવાલ બાદ ગણતરીના દિવસોમાં જ સરકારે સિકલસેલના દર્દીઓ માટે સરકારે એક કરોડ રૂપિયા ફાળવતા સિક્લસેલ અને એનિમિયાનાં દર્દીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. નર્મદા જિલ્લાના 1700 થી પણ વધુ સિકલસેલના દર્દીઓ છેલ્લા 11 માસથી સરકારી સહાયથી વંચિત છે. આવા દર્દીઓ જરૂરી વધુ સારવાર અર્થે સરકારી સહાયનો ઉપયોગ કરી અન્ય હોસ્પિટલમાં જતા હોય છે. જે સહાયના અભાવે આવા દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહી જાય છે. આ મુદ્દે નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવાએ ગુજરાત સરકારને એક પત્ર પણ લખ્યો હતો. સરકાર સફાળી જાગી છે અને નર્મદા જિલ્લાના સિકલસેલ એનિમિયાના દર્દીઓ માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ બાબતે નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતા વસાવાએ જણાવ્યું હતું કે સરકારે સિકલસેલ એનિમિયાના દર્દીઓ માટે 2 મહિનાની સહાય પેટે 1કરોડ રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે. જે ટૂંક સમયમાં એમને મળી જશે, આગામી સમયમાં બાકીની સહાય માટે પણ સરકાર ગ્રાન્ટની ફાળવણી કરશે.
વેધર રિપોર્ટ:ભરૂચ જિલ્લામાં સવારમાં ઠંડી અને દિવસે ગરમી અનુભવાય
ભરૂચ જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુ એક સાથે અનુભવાય રહી છે. જેમાં બે દિવસથી વહેલી સવારે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અનુભવાઇ હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન ફરી વધીને 20 ડિગ્રી થયું છે. જેથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે વહેલી સવારે ઝાકળ પડી રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 26 થી 54 ટકા અને પવનની ગતિ માં વધારો થઈને 15 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 19 થી 20 અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ પવનની ગતિ માં વધારો થતાં ખેડૂતોએ પવનની ગતિ ધીમી થયા બાદ દવાનો છંટકાવ કરી શકશે. જે ખેડૂતોનો કપાસ પાક તૈયાર થઈ ગયો હોય તેમને વીણી કરવા માટે સલાહ આપી છે.
જવાહરલાલ નહેરુ ની નીતિઓના કારણે દેશના ભાગલા પડયાં હતાં પણ સરદાર વલ્લભભાઇ પટેલે અખંડ ભારત બનાવીને એકતાનું સૂત્ર આપ્યું હતું તેમ રાજયના ઉર્જા મંત્રી ઋુષિકેશ પટેલે ભદામ ખાતે જણાવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ તેમજ સામાજિક જવાબદારીનો સંદેશ આપતી રાષ્ટ્રીય એકતા માર્ચ નર્મદા ના પોઇચાથી ભદામ ગામ ખાતે આવી પહોંચી હતી ત્યાંથી વડિયા વાવડી સુધી પહોંચી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પંડિત જવાહરલાલ નહેરુની નીતિઓને લઈને ભાગલા પડ્યા સરદાર સાહેબે અખંડ ભારત બનાવી એકતાનું સૂત્ર આપ્યું હતું. હજુ પણ દેશમાં કેટલાક ભાગલા પડવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોઇચા ગામ ખાતે ગામેથી કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી ઇશ્વર પટેલ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સહિત સાંસદ મનસુખ વસાવા અને જશુભાઈ રાઠવા ડો.દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખભાજપ પ્રમુખ નીલ રાવ સહિત આગેવાનો હાજર રહયાં હતાં.
ભાસ્કર એક્સક્લુસિવ:ડ્રાઇવિંગ ટેસ્ટમાં પણ હવે એઆઇ, ટેસ્ટ પછી ખબર પડી જશે પાસ છે કે નાપાસ
ભરૂચ જિલ્લાની આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ટ્રેક બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ સિવિલ કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ ડ્રાઇવિંગ ટ્રેક પર 18 જેટલા એ આઈ આધારિત સીસીટીવી કેમેરા, સિગ્નલ લાઇટો તેમજ ટ્રેકની શરૂઆત અને અંતે એક ડિસ્પ્લે મુકવા આવ્યા છે. તેમજ એઆઈ આધારિત તમામ સીસ્ટમનું સંચાલન કરવા માટે એક અલગ રૂમમાં સિસ્ટમ મૂકવામાં આવશે. હાલ આરટીઓમાં જૂના સિસ્ટમ મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા અરજદારોને સ્પીકર ના માધ્યમથી સૂચના આપવામાં આવી રહી છે. અને દરેક કાર સાથે સેન્સર લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટ્રેક ચાલુ થયા બાદ સેન્સર નીકળી જશે તેમજ ટેસ્ટ આપતા અરજદારોએ સિગ્નલ લાઈના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે. અને નાનાંમાં નાની ભૂલ હશે તો પણ એઆઈ તેને પકડી લેશે અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ કરશે. અરજદાર પાસે ડ્રાઇવિંગની પૂરી આવડત હશે તેજ અરજદાર આ એ આઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થઈ શકશે. મુખ્ય 4 સ્ટેજ પર એઆઈ કેમેરાની નજરકાર ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે 4 સ્ટેજ સમય મર્યાદામાં પૂરા કરવા જરૂરી હોય છે. જેમાં પ્રથમ રિવર્સ પાર્કિંગ - 90 સેકન્ડમાં, સ્લોપ ચઢાણ - 180 સેકન્ડ, અંગ્રેજીમાં 8 - 90 સેકન્ડ, રિવર્સ એસ 180 સેકન્ડ મળી કુલ 540 સેકંડ એટલે કે 9 મિનિટ વધુમાં વધુ ટેસ્ટ આપવા માટે આપવામાં આવે છે. હવે એઆઈ આ તમામ 4 સ્ટેજનું અવલોકન કરી અરજદારને પાસ કે નાપાસ કરશે. ડ્રાઇવિંગ ટેસ્ટનું પરિણામ તરત જાણી શકાશે આરટીઓ માથી મળતી માહિતી મુજબ એઆઈ આધારિત ડ્રાઇવીંગ ટ્રેક તૈયાર થઈ ગયો છે જે ટ્રેક પર જે અરજદાર ટેસ્ટ આપતો હશે. તે જ્યારે છેલ્લે પહોંચશે ત્યાં કાર રિવર્સ કરીને આવશે. અને બહાર નીકળવા જશે ત્યાં સામે એક ડિસ્પ્લે લગાવવામાં આવી છે. જ્યાં અરજદાર ટેસ્ટ દરમિયાન પાસ કે ફેલ થયો છે બતાવી દેશે જેથી અરજદાર ને તાત્કાલિક ખબર પડી જશે કે તે પાસ છે કે ફેલ ટ્રેક પર એઆઈ આધારિત કેમેરા લગાવાયાહાલ આરટીઓ ટ્રેક પર સિવિલ કામગીરીની કામગીરી પૂરી થયા બાદ એઆઈ આધારિત કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે સિગ્નલ લાઇટ,ડિસ્પ્લે પણ લગાવી દેવામાં આવ્યું છે, મોટાભાગની કામગીરી પૂરી થય ગય છે. તેથી ટૂંક સમયમાં ઓડીત બાદ એઆઈ આધારિત ટેસ્ટ લેવાનું ચાલુ કરવામાં આવશે. > મિતેશ બંગાલે, આરટીઓ ભરૂચ
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કચ્છનો રણોત્સવ વિશ્વ માટે કેસ સ્ટડી : સીએમ
કચ્છની સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમ સાથેનો રણોત્સવ ભારતની આગવી ઓળખ છે. અને વિશ્વ માટે એક કેસ સ્ટડી છે. પ્રવાસન વિકાસ થકી સ્થાનીક અર્થતંત્રને ફાયદો થયો છે. નવી સુવિધાઓ ઉભી થવાથી સહેલાણીઓને ફાયદો થશે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી હવાઈ માર્ગે ભુજ એરપોર્ટ અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે ધોરડો હેલીપેડ ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયું હતું. કાર્યક્રમ સ્થળે સીએમની હાજરીમાં 179 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધોરડોમાં 54 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવેલી સુવિધા ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં 2500 મીટરના સાયકલ ટ્રેક, 3500 મીટરનો રસ્તો તેમજ પીપીપી મોડથી ટેન્ટસિટી માટે 60 એકરની ઉબડખાબડ જમીન સમતલ કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. આવતા વર્ષથી અહીં નવી ટેન્ટસીટી શરૂ થશે ઉપરાંત ઇકો ટુરીઝમ રિસોર્ટ અને કેરેવાન ટુરીઝમ ડેવલોપ થઈ શકશે. આ ઉપરાંત લખપત કિલ્લામાં 18 કરોડના ખર્ચે જ્યારે હેરીટેજ વિલેજ તેરામાં 17 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધા ઉભી થશે તેનું ખાતમુહૂર્ત કરાયું હતું.ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 90 કરોડના ખર્ચે ગોરેવલીથી વોચ ટાવર સુધી નવો વિલેજ બાયપાસ રસ્તો બનાવવામાં આવશે તેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. મુખ્યમંત્રીએ આજે પૂનમ અને ગુરૂ દતાત્રેય જ્યંતી હોવાથી કાળા ડુંગરે બિરાજતા ગુરૂ દત્તાત્રેયને વંદન કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, અન્ય કોઈ જગ્યાએ રણ એટલે ઉજ્જડ વેરાન ભુમી પણ ગુજરાતમાં જ્યારે રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણ ઉત્સવ યાદ આવે છે કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના પ્રવાસીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી શકાય તેવો વિચાર માત્ર અને માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવી શકે. વડાપ્રધાને વર્ષ 2005માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે રણ ઉત્સવની શરૂઆત કરાવી ત્યારે તેઓએ કહ્યું હતું કે એક દિવસ એવો આવશે કે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું આ મોડલ વિશ્વભરના દેશો માટે કેસ સ્ટડી બન્યો છે. આ વેળાએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અનિરુદભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, મેનેજીંગ ડાયરેક્ટર પ્રભવ જોશી, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિતના હાજર રહ્યા હતા. ક્રાફ્ટ બજાર, સખી ક્રાફ્ટ અને થીમ પેવેલિયનમાં સંવાદમુખ્યમંત્રી રણોત્સવની ક્રાફ્ટ બજાર, સખી ક્રાફ્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત થીમ પેવેલિયનની મુલાકાત લઈને કચ્છી સંસ્કૃતિ, વિરાસત અને અદ્ભુત હસ્તકલાને નજીકથી નિહાળી હતી. કારીગરોની અદભુત કલાકારીગરીનું જીવંત નિદર્શન નિહાળ્યું હતું. કૃતિઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. કચ્છી શાલના કલા કારીગરોએ તેમનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઢોલક, રાવણહથ્થો, જોડિયા પાવા જેવા પરંપરાગત વાજિંત્રોની માહિતીમાં રસ દાખવ્યો હતો. સખી મંડળની બહેનોએ લોકગીત રજૂ કર્યું હતું. લખપતિ દીદી પેવેલિયનની મુલાકાત લીધી હતી. વિવિધ હેન્ડીક્રાફ્ટના પ્રદર્શનો નિહાળી મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રવાસન વિભાગના મેનેજીંગ ડાયરેક્ટર પ્રભવ જોશી સાથે સીધીવાતકચ્છમાં રણોત્સવનો આરંભ થયો છે આ સાથે ચાલુ પ્રવાસન સીઝનમાં માંડવીમાં બીચ ફેસ્ટીવલ અને ધોળાવીરામાં હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવીમાં 21 થી 31 ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટીવલ યોજાશે જેમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી, બીચ ગેમ્સ, સેન્ડ આર્ટ, બીચ સ્પોર્ટ્સ, ફૂડ એન્ડ ક્રાફટ સ્ટોલ, કલચરલ એક્ટિવિટી સહિતનું આયોજન થશે. આ ઉપરાંત સંભવત જાન્યુઆરીમાં વૈશ્વિક વિરાસત ધોળાવીરા ખાતે હેરીટેજ ફેસ્ટિવલ યોજવામાં આવશે જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો આવશે.પ્રવાસન વિભાગ દ્વારા કચ્છ જિલ્લાને ટોપ પ્રાયોરિટીમાં ગણવામાં આવ્યો છે સહેલાણીઓ કચ્છ આવે અને પ્રવાસન સુવિધાઓ માણે તેવી અપીલ કરું છું. મુખ્યમંત્રી રણમાં પહોંચ્યા, સહેલાણીઓએ કહ્યું ‘રણ ખૂબ મસ્ત છે’ભૂપેન્દ્ર પટેલે રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાવતા પૂર્વે ધોરડોના અફાટ આકાશમાં આથમી રહેલા નયનરમ્ય સૂર્ય અને રણની સફેદીનો નજારો માણ્યો હતો. સાથે કેમલ સફારીની સવારી કરીને રણની રમણીય સુંદરતાને નિહાળી હતી. તેમજ રણ જોવા આવેલા પ્રવાસીઓ સાથે સંવાદ કરીને અનુભવો વિશે જાણકારી મેળવી હતી. પ્રવાસીઓએ રણ બ્યુટીફૂલ હોવાનું કહ્યું હતું. મુખ્યમંત્રીએ પ્રવાસીઓ સાથે ફોટો પડાવીને તેમના પ્રવાસને યાદગાર બનાવ્યો હતો. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી મારું જોડાણ છે : પ્રવાસન સચિવપ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારે જણાવ્યું કે, વર્ષ 2005મા પહેલો રણોત્સવ ખારાઘોડામાં ત્રણ દિવસનો થયો હતો. ત્યારે હું ગુજરાતમાં નોકરીએ જોડાયો અને તાલીમી સમયગાળામાં હતો. અને રણોત્સવની સ્થળ પસંદગી માટે આવ્યો હતો. આજે 3 દિવસનો ઉત્સવ 100 દિવસનો મહોત્સવ બની ગયો છે. આજે 100 દિવસના મહોત્સવમાં ગત વર્ષે 10 લાખ પ્રવાસી આવ્યા હતા. રણોત્સવ થકી ઇકોનોમીને પણ ફાયદો થઈ રહ્યો છે. આવતા વર્ષથી નવી ટેન્ટસીટીનો પ્રવાસીઓને ફાયદો થશે.
ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ:અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ
અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ હતી. દર વર્ષ મુજબ માગશર સુદ પુનમના ગુરૂદત્ત જયંતીએ નલિયા ખાતે યોજાઈ હતી. જેમાં અબડાસા તાલુકાના દશનામ ગોસ્વામી સમાજના ભાઇઓ મોટી સંખ્યામાં હાજર રહી કલ્યાણેશ્વર મહાદેવથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા (રવાડી) કાઢવામાં આવી હતી. સામાન્ય સભા અને સ્નેહમિલન યોજાયું હતું. જેમાં સમાજ વિકાસના મુદ્દાઓ, શિક્ષણ, આરોગ્ય સહિત આગામી સમયમાં સમૂહલગ્ન યોજવા અંગે ચર્ચા કરાઈ હતી. અબડાસા તાલુકા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અશોકપુરી, મહામંત્રી નારાણગીરી, મંત્રી સુનિલગીરી, ટ્રસ્ટી પ્રવીણગીરી તેરા, રમેશગીરી લખાણિયા, મહેશગીરી ભાચુડા, જીતેન્દ્રગીરી, વડીલો ભીમગિરિ, ખીમગીરી, કિશોરગીરી, ગવરીગીરી, નલિયા પ્રમુખ તુલસીગીરી, અભયગીરી વગેરે હાજર રહ્યા હતા. મહિલા મંડળ દ્વારા રાસ ગરબા યોજાયા હતા. સંચાલન હિરેનગીરી ગોસ્વામી અને આભાર વિધિ મહેશગીરીએ કરી હતી.
માંડવી તાલુકાના લુડવા ગામે મેઘવંશી ગુર્જર ગરવા સમાજ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા બાબા રામદેવજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ગણપતિ પૂજન, જલયાત્રા, શિખર રોપણ, મૂર્તિ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, શ્રીફળ હોમ, પાટકોરી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે ભોજાયના યક્ષ બૌતેરા ગૌસેવા રામા મંડળે રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર (આખ્યાન) રજૂ કર્યું હતું. તમામ શાસ્ત્રોક્ત વિધિ ખુશાલ મારાજે કરી હતી. આ પ્રસંગે રામદેવજી મહારાજના પગલાં મંદિર ફરાદીના ગાદીપતિ તુંવર દિલીપસિંહ બાપુ, ગઢશીશા અંબેધામના આઈ ચંદુમા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નિર્માણમાં મુખ્ય દાતા રામપર વેકરા હાલે નેરોબી (કેન્યા) નિવાસી શાંતિલાલ વેલજી ભંડેરી તથા તેમના ધર્મપત્ની ધનુબેન શાંતિલાલ ભંડેરીએ 3.51 લાખનું દાન આપ્યું હતું. એમનું સમિતિ દ્વારા સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં લુડવા તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિરના નિર્માણ તથા પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પ્રમુખ નાનજીભાઈ ચાવડા, મંત્રી રમેશભાઈ ગરવા, ખજાનચી દિનેશભાઈ ચાવડા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
સરહદી સુરક્ષાની સમીક્ષા:IAFના એર માર્શલની નલિયા એરબેઝ ખાતે મુલાકાત
દેશ માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા નલિયા એરફોર્સ સ્ટેશનની ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ હવાઈ કમાન્ડના એર માર્શલ નાગેશ કપૂરે મુલાકાત લીધી હતી. તેઓએ જવાનોને સંબોધિત કર્યા બાદ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે તાલીમ, ટેકનોલોજીકલ એકીકરણ અને નાગરિક લશ્કરી સંપર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. નોંધનીય છે કે કચ્છની સરહદ દેશમાં વાયુસેનાના માટે સૌથી સંવેદનશીલ ઓપરેશનલ ઝોનમાં છે. એર માર્શલ કપૂરે એરમેન અને અધિકારીઓની કામગીરી, શિસ્ત અને સજ્જતાને વખાણી હતી. તેમણે ઓપરેશનલ રેડીનેસની સમીક્ષા કરી અને વિવિધ વ્યૂહાત્મક અભ્યાસો તથા ઇન્ડિયન એર ફોર્સમાં ચાલતી અદ્યતન ટેક્નોલોજી અને ડિજિટલ સિસ્ટમ્સના અપગ્રેડેશન્સવિશે ચર્ચા કરી હતી.
તંત્ર દ્વારા નિર્માણમાં વિલંબ:‘વેસ્ટર્ન મોસ્ટ રેલવે સ્ટેશન’નલિયા પ્રવાસી ટ્રેનની રાહમાં
કચ્છના અબડાસા તાલુકાના નલિયા રેલવે સ્ટેશનને 25 વર્ષના સમયગાળા પછી પુનઃ ભારતના વેસ્ટર્ન મોસ્ટ રેલ્વે સ્ટેશનનું બિરુદ પાછું મેળવ્યું છે. પણ આ રેલવે સ્ટેશનથી હજુ સુધી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે. ભૂકંપ પહેલા મીટરગેજ લાઈન વખતે પણ નલિયા વેસ્ટર્ન મોસ્ટ રેલ્વે સ્ટેશન ગણાતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2024માં ભુજ નલિયા રેલ્વે લાઈનને રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ આ રૂટ પર હાલમાં માલવાહક ટ્રેનનું આવાગમન ચાલુ છે. પણ 21 મે 2025ના ઇલેક્ટ્રીક પેસેન્જર ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક થઈ ગઈ હોવા છતાં ગમે તે કારણોસર નલિયા સુધી પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ભુજ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનોને નલિયા સુધી લંબાવવા માટે પીટ લાઈનનો અભાવ જેવી કેટલીક ટેકનીકલ મુશ્કેલીઓ કારણભૂત ગણાવાઈ રહી છે. નલિયા સ્ટેશનને પીટ લાઇનનું નિર્માણ જ્યારે થાય ત્યારે ખરું પણ ત્યાં સુધી ગાંધીધામ સુધી સુધીની લોકલ ટ્રેનો ચલાવવા હાલમાં કોઈ મુશ્કેલી નથી. આ રૂટ પર ઇલેટ્રિફીકેશનનું કામ પણ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થઈ ગયું છે. જેથી લોકલ ટ્રેનો શરૂ કરવા લોકોમાં ખૂબ જ લાગણી પ્રવર્તી રહી છે. ભારતની ચાર દિશામાં આવેલા અંતિમ રેલવે મથક નલિયાથી આસામને રેલમાર્ગે જોડતી ‘ભારત જોડો’ ટ્રેન શરૂ થાય તો દેશની એકતા - અંખડિતતા દેખાશેખરેખર તો નલિયાના વેસ્ટર્નમોસ્ટ રેલ્વે સ્ટેશન તરીકેના મહત્વને પીછાણી રેલવે તંત્રે અહીં પી ટલાઈનનું તાત્કાલિક નિર્માણ કરવું જોઇએ. અને ત્યારબાદરી ઇસ્ટર્ન મોસ્ટ રેલવે સ્ટેશન મુર્કીગસેલેક (આસામ) સુધીની સળંગ ટ્રેન દોડાવાયના પ્રયાસો કરવા જોઈએ તેવી રેલ પ્રેમીઓની લાગણી છે. જો ટ્રેન શરૂ થાય તો પશ્ચિમના અરબસાગરથી પૂર્વમાં હિમાલયની તળેટી સુધી ભારત એક રેલમાર્ગથી જોડાઈ જશે. આ માત્ર પ્રવાસીઓને માટે જ નહીં પરંતુ દેશના વિવિધ પ્રાંતો, સંસ્કૃતિઓ અને જનસમુદાયોને એકસૂત્રમાં બાંધવાનો ઐતિહાસિક કદમ સાબિત થઈ શકે છે.
કચ્છમાં ખનીજ ચોર બેફામ બન્યા હોય તેમ અવાર નવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરી ગેરકાયદેસર ખનન ઝડપી લેવામાં આવે છે તેવામાં હવે જિલ્લાની ટાસ્ક ફોર્સ ટીમ અને નખત્રાણા પ્રાંત અધિકારીની સંયુક્ત કાર્યવાહીમાં નિરોણાની નદીમાં થતી રેતી ચોરી પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એક ટ્રક અને બે લોડર કબ્જે કરવામાં આવ્યા છે. જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા કલેક્ટર દ્વારા ટાસ્ક ફોર્સ ટીમ બનાવવામાં આવી છે.ગુરુવારે નખત્રાણા પ્રાંત અધિકારી અને ટાસ્ક ફોર્સ ટીમે બાતમીને આધારે નિરોણા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.જેમાં ગામની ભરૂડ નદીમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપી લેવામાં આવ્યું છે. સ્થળ પરથી એક ટ્રક તથા બે લોડર કબ્જે કરવામાં આવ્યા છે. ટ્રક નંબર જીજે 09 એવી 9379 જેના ડ્રાઈવર કાસમભાઈ ખાડુ ભીયા રહે. કોટડી જેના માલિક કિશોરભાઈ નારણભાઈ આહિર રહે.નિરોણા,લોડર નંબર જીજે 12 સીએમ 9096 ના માલિક ઇમરાન હુશેન જત રહે.સુમરાસર જેના ડ્રાઇવર ખેતશી મમુભાઈ આહિર રહે.નિરોણા તથા લોડર નંબર જીજે 13 એડી 1261 ના ડ્રાઈવર મુકેશભાઈ જેઠાભાઈ આહિર રહે નિરોણા જેના માલિક પુંજાભાઈ ભીમજીભાઈ આહિર રહે.નિરોણા વાળાઓની તપાસ કરતાં અંદાજીત 44 લાખનું મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સ્થળ પર થયેલ ખાડાઓની માપણી તેમજ આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને કબ્જે કરેલો મુદામાલ નિરોણા પોલિસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે,વર્ષ 2024 માં પણ નખત્રાણા પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરી નિરોણા વિસ્તારમાંથી ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.તેવામાં હવે વધુ એક કાર્યવાહી કરાઈ છે.
લોકાર્પણ:ધોરડો ખાતે 562 વૃક્ષોના વાવેતર સાથે ભારતના નક્શાના આકાર પામેલ ‘સરદાર સ્મૃતિ વન’નું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા “સરદાર સ્મૃતિવન”માં વૃક્ષારોપણ કરીને વનને ખુલ્લું મૂક્યું હતું. અખંડ ભારત, એક ભારતના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને સાકાર કરતાં સરદાર સ્મૃતિવનમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ પારસ પીપળાના વૃક્ષનું વાવેતર કરીને વનનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક જયનકુમાર પટેલ, મદદનીશ વન સંરક્ષક પી.એન.વાઘેલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.જે.દેસાઈ તથા વન વિભાગનો ફિલ્ડ સ્ટાફ સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ હતાં. 10 હેક્ટરમાં ગાંડો બાવળ દૂર કરી નિર્માણ થયું સરદાર સ્મૃતિવનઆ ઉજવણી અંતર્ગત રાજ્યની દરેક વિધાનસભા બેઠક દીઠ એક પદયાત્રા તથા “એક પેડ- મા કે નામ” અભિયાન હેઠળ દરેક વિધાનસભા વિસ્તારમાં ‘’સરદાર સ્મૃતિ વન’’ સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે, જેમાં કુલ 562 વૃક્ષોનું વાવેતર કરવાનું છે. આ અનુસંધાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ફેજ-૧ માં ધોરડો ટેન્ટસીટી ખાતે 10 હેકટર વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી સ્થાનિક પ્રજાતીના વૃક્ષોનું વાવેતર કરી ‘’સરદાર સ્મૃતિ વન’’નું નિર્માણ કરવામાં આવ્યું છે.
GIFT સિટી. દેશનું પહેલું ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી. આ પ્રોજેક્ટ PM નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગાંધીનગરમાં આકાર લઇ રહેલા આ પ્રોજેક્ટમાં દુબઇ-સિંગાપુરને ઝાંખી પાડે એવી બિલ્ડિંગો છે. અહીં ગુગલ, બેંક ઓફ અમેરિકા અને IBMની ઓફિસો છે, અને ડિસ્કો થેક, ક્લબ અને બાર પણ છે. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ગિફ્ટ સિટીનું હૃદય અને મગજ છે. જ્યાં સપનાંની દુનિયા આકાર લઈ રહી છે એ ગિફ્ટ સિટીની અંદરની દુનિયા તમે દિવ્ય ભાસ્કર એપ પર જોઈ શકશો. આવતીકાલે સવારે 6 વાગ્યાથી 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ'માં.
બપોરના 2 વાગીને 27 મિનિટ થઈ રહી છે. હું અત્યારે એક એવી ખંડેર ઇમારતની અંદર કાટમાળ વચ્ચે ઊભો છું, જે એક સમયે આખા વિશ્વના મીડિયાની હેડલાઇન હતી. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અતુલ્યમ ઇમારત. જ્યાં 12 જૂનની બપોરે 1 વાગીને 38મી મિનિટે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. જેમાં સવાર 241 લોકોને બચવાનો જરાય મોકો ન મળ્યો. આ હોસ્ટેલમાં રહેતા ડોક્ટર પણ આભમાંથી આવેલી આફતમાં મોતને ભેટ્યા. કુલ મૃત્યુ આંક 260 હતો. એક સમયે ડોક્ટરોનું સરનામું ગણાતી અતુલ્યમ હોસ્ટેલ નામની ચાર ઇમારતની ઓળખ હવે લોકોના મનમાં જ નહીં, ગૂગલ મેપ પર પણ પ્લેન ક્રેશ સાઇટ 171ની બની ચુકી છે. છેલ્લા 6 મહિનામાં આ ઇમારતની અંદર દેશની વિવિધ ઇન્વેસ્ટિગેશન ટીમ અને એવિએશન એક્સપર્ટ તપાસ કરી ચૂક્યા છે. અગાઉ અહીંયાં ઘણા પોલીસ જવાનો 24 કલાક પહેરો ભરતા હતા. હવે થોડા દિવસ પહેલાં જ આ ઇમારતની સુરક્ષા હળવી કરવામાં આવી છે. એટલે હું પરમિશન લઈને મારા સહયોગી રવિ રાજપૂત સાથે ક્રેશ સાઇટ પર પહોંચ્યો. 12 જૂને અમદાવાદ એરપોર્ટથી ઉડેલું પ્લેન સૌથી પહેલાં મેસની ઇમારત સાથે ટકરાયું. ત્યાર બાદ અતુલ્યમ 4, અતુલ્યમ 3, 2 અને 1 એવી રીતે કુલ પાંચ ઇમારતો પર પડ્યું. એટલે મેં પણ ખંડેર બની ચૂકેલી મેસની બિલ્ડિંગથી ક્રેશ સાઇટને જોવાનું નક્કી કર્યું. પ્લેન ક્રેશની ઘટના પછી ઘણા દિવસો સુધી અહીંયાંથી ડેડબોડી કાઢવા તેમજ કાટમાળ ખસેડવાનું કામ ચાલ્યું હતું. હું પણ અહીંયાં રિપોર્ટિંગ માટે વારંવાર આવ્યો. ઘટના સમયે ખૂબ નજીકથી ઘણા દૃશ્યો જોયા હતા. પણ પહેલીવાર ઇમારતની અંદર દાખલ થયો. ક્રેશ સાઇટને ગ્રાફિક્સની મદદથી સમજો. આ કમ્પાઉન્ડમાં મેસ સૌથી છેલ્લે એરપોર્ટ તરફ આવેલી છે. એટલે મેઇન ગેટમાંથી પ્રવેશીને અમે એ તરફ ચાલવા લાગ્યા. કોઈ બાંધકામ માટે મહિનાઓ પહેલાં લાવવામાં આવેલી રેતીના ઢગલા હજુ પણ કમ્પાઉન્ડમાં એમના એમ જ છે. આ જ રેતીના ઢગલા પર કૂદી પડવાથી પ્લેન ક્રેશની ઘટનામાં વિશ્વાસ કુમાર જીવતો રહ્યો હોવાનું માનવામાં આવે છે. આવી તમામ વાતો વિચારતા અમે મેસ સુધી પહોંચી ગયા. મેસની બહાર હજુ પણ બેરિકેડ્સ પડ્યા છે. સહેજ હટાવીને અમે મેસના પગથિયા ચડ્યા. ત્યારે અમારી સાથે આવેલા ભાઈએ જમણી બાજુ ઉપર આંગળી ચીંધીને કહ્યું, “અહિયાં પ્લેનની પૂંછડી ફસાઈ ગઈ હતી.” મેં નજર ઊંચી કરીને જોયું તો એરપોર્ટ તરફની આખી દીવાલ તૂટી ગઈ હતી. પ્લેનનો બધો હિસ્સો તો હટાવી લેવામાં આવ્યો પણ બાંધકામનો કાટમાળ હજુ પણ ત્યાંનો ત્યાં જ પડ્યો હતો. બહાર નીકળેલા સળિયા, ઈંટોનો ઢગલો અને પહેલા માળેથી દેખાતો લીમડો કે જે પ્લેન પડવાથી બુંઠું થઈ ગયું છે એ આ ઘટનાના સાક્ષી હતા. આ જ સમયે પ્લેનનો અવાજ આવ્યો… તુટેલી દીવાલમાંથી બહાર નજર કરી તો એરપોર્ટથી થોડી જ સેકન્ડો પહેલા ટેકઓફ થયેલું પ્લેન દેખાયું, અમે ઊભા હતા એ જ બિલ્ડિંગ પરથી જોતજોતામાં પસાર થઈ ગયું. પ્લેનનો આ અવાજ હજુ પણ એ ભયાનક દિવસની યાદ અપાવી જાય એવો હતો. પ્લેન ક્રેશ થયા બાદ ઘણા વીડિયો સામે આવ્યા હતા. એમાં ભલભલાની આંખ પલાળી નાખે એવો વીડિયો ભોજનની થાળીનો હતો. બપોરનો સમય હતો, ત્યારે જ પ્લેન ક્રેશ થયું અને પ્લેનના કાટમાળ સહિત ઇમારતનો પણ કેટલોક ભાગ જમવા બેસેલા વિદ્યાર્થીઓ પર પડ્યો અને મોતનો કોળિયો બની ગયા. મારી નજર સામે એ જ મેસના ખાલી ટેબલ હતા. હજુ પણ ત્યાં પાણીની બોટલ, વાસણો, વિદ્યાર્થીઓના બૂટ-ચપ્પલ પડ્યા છે. જોઈને લાગે જ નહીં કે પીડાદાયક આ ઘટનાને છ-છ મહિનાના વહાણ વીતી ગયા છે. અમે થોડા આગળ વધ્યાં અને મેસના રસોડામાં પહોંચ્યા. મગજ સુન્ન કરી નાખે એવા દૃશ્યો અમારી નજર સામે હતા. ધૂમાડાથી કાળી પડી ગયેલી દીવાલો, ભયંકર ગરમીના કારણે પંખાની વળી ગયેલી પાંખો, વેરણ-છેરણ અનાજ… કિચનમાં કોઈ સામાન સલામત નહતો રહ્યો. મેસના તૂટેલા કાચમાંથી મેં બહારની તરફ નજર નાખી. સામેની બાજુ અતુલ્યમ-4 ઇમારત હતી. 5 માળની આ બિલ્ડિંગમાં રહેતા ડોક્ટરમાંથી નસીબજોગે જ કોઈ બચી શક્યું હશે. કારણ કે મેસની છત સાથે પૂંછડી ટકરાયા બાદ પ્લેનની ડાબી તરફથી પાંખ અતુલ્યમ-4માં ઘૂસી ગઈ હતી અને પછી સેકન્ડોમાં જ ભયંકર બ્લાસ્ટ થયો હતો. હવે અતુલ્યમ-4ની સ્થિતિ શું છે એ જાણવા માટે અમે મેસમાંથી નીચે ઉતર્યા અને બાજુની ઇમારત તરફ જવા લાગ્યા. નીચે ઉતરતા જ અમને ત્યાંના સિક્યોરિટી ગાર્ડ સંજયભાઈ મળ્યા. વાતવાતમાં બોલ્યા, “હું લગભગ બે વર્ષથી અહીંયાં નોકરી કરું છું. પ્લેન પડ્યું એ પહેલાંનો માહોલ બહુ જ સારો હતો. ઘણા વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જમવા આવતા. એ લોકોનો સ્વભાવ એવો હતો કે અમુક લોકો મારા મિત્રો પણ બની ગયા હતા. આ ઘટનામાં એમાંથી ઘણાનો જીવ જતો રહ્યો. હવે આ ખંડેર બિલ્ડિંગ અને સન્નાટા વચ્ચે એ લોકોની ઘણી યાદ આવે છે. મને પણ ગમતું નથી અહીંયાં.” આટલું બોલતા સંજયભાઈ ગળગળા થઈ ગયા. મારી પાસે એમને સાંત્વના આપવા શબ્દો ખૂટી પડ્યા હોય એમ લાગ્યું. ઊંડો શ્વાસ લીધો અને પછી રેતીના ઢગલા પરથી ચાલતા-ચાલતા અમે અતુલ્યમ-4ની નીચે પહોંચ્યા. બિલ્ડિંગની બહાર પાર્કિંગ એરિયામાં સળગેલા ઘણા વાહનો પડ્યા હતા. જૂનમાં બનેલી ઘટના પછી ચોમાસાની સિઝન આવી અને પછી માવઠું પણ પડ્યું. સમયના આ માર સાથે વાહનોને કાટ ચડી ગયો છે. આગની તીવ્રતાનો અંદાજો એ દૃશ્ય પરથી લગાવી શકાય છે કે મોટરસાઇકલના બીડના મેકવ્હીલ ઓગળી ગયા હતા. ટાયર બળી ગયા બાદ એના તાર લટકતા હતા. ટુ વ્હિલર હોય કે ફોર વ્હિલર… એ કઈ કંપનીનું મોડલ હશે એ પણ ઓળખી શકાય એવી સ્થિતિ નથી એ હદે આગમાં સ્વાહા થયા હશે. અમારી સાથે આવેલા ભાઈએ કહ્યું, ઉપર તો હાલત આનાથી પણ વધારે ખરાબ છે. હવે અમે પગથિયા ચડ્યા અને પહેલાં માળે પહોંચ્યા. જ્યાં એક થાંભલા પર લખ્યું હતું… વેલકમ ટુ અવર નેસ્ટ વિધિની વક્રતા તો જુઓ… એક પક્ષીના માળાની માફક જે પોતાના ઘરને શાંતિનું ઠેકાણું સમજતા હતા, ત્યાં હવે ચકલુય ફરકે એવી હાલત નથી. જ્યાં નજર પહોંચે ત્યાં સન્નાટો ભાસે છે. અમે જરા હિંમત કરી અને એક ફ્લેટમાં પ્રવેશ્યા. પહેલી જ નજર ડાયનિંગ ટેબલ અને ખુરસીઓ પર પડી. બધુ જ જાણે કોલસો થઈ ગયું હતું. કિચનનો સામાન વેરવિખેર થઈને કદાચ બ્લાસ્ટના કારણે છેક હોલ સુધી આવી ગયો હોય એમ લાગ્યું. ત્યાંથી નજર હતી તો આંખો સામે સ્તબ્ધ કરી દેતું વધુ એક દૃશ્ય આવ્યું. દીવાલ પર ફિટ કરેલું AC તો બળીને ખાક થઈ ગયું પણ અંદરનું કોપરનું મટિરિયલ લટકતું હતું. મોટાભાગના દરવાજા ઊભા-ઊભા કોલસો થઈ ગયેલા નજરે પડ્યા. એક ઉપર એક ગોઠવેલી પ્લાસ્ટિકની ખુરસીઓ પીગળીને રેલો ગયો હતો. અમે બીજા એક ફ્લેટની અંદર ગયા. ઘરમાં સ્ટીલના વાસણો, મેડિકલ સાયન્સનું સાહિત્ય અને બીજી ઘણી વસ્તુઓ સળગેલી જોવા મળી. એક ઘરની બાલ્કનીમાં લક્ષ્મીજીની આકૃતિવાળો તુલસી ક્યારો જોયો. શુભ ગણાતી તુલસી આગમાં બળી ગઈ અને નિશાની રૂપે માત્ર એક સૂકું ઠુંઠું બાકી રહ્યું હતું. ચોથામાળે આવેલા એક ઘરમાં ગર્ભ સંસ્કાર નામનું પુસ્તક મળ્યું. પુસ્તક તો સલામત હતું પણ આ ઘરની હાલત ખંડેર જેવી થઈ ગઈ હતી. કારણ કે અતુલ્યમની ઇમારતોમાં ઉપલા માળે જ સૌથી વધુ નુકસાની થઈ હતી. પુસ્તક જોતા જ અગાઉ એક વ્યક્તિએ કહેલી વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું, અહીંના એક ઘરમાં ગર્ભવતી મહિલાનું પણ મૃત્યુ થયું હતું. જ્યાં લોખંડના સળિયા પીગળી જાય, વળી જાય, એવી ગરમીમાં હાડમાંસના માણસની શું હાલત થઈ હશે? પ્લેનક્રેશ બાદ લાગેલી આગથી બે પ્રકારની સ્થિતિ પેદા થઈ હશે. જે વસ્તુ આગની ઝપેટમાં આવી એ તો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ જ ગઈ. વળી, જ્યાં આગની જ્વાળા નહીં પહોંચી હોય ત્યાં તેની ગરમી એટલી તીવ્ર રીતે પહોંચી હશે કે ઘણી વસ્તુઓ પીગળી ગઈ. મને યાદ છે, પ્લેન ક્રેશની ઘટનાના તરત પછી અહીં પહોંચેલા ઘણા લોકોના મોબાઇલની બેટરી ગરમીના કારણે ડાઉન થઈ ગઈ હતી. મોબાઇલ પણ સરખી રીતે કામ નહોતા કરી રહ્યા. અમે અતુલ્યમ 4માંથી નીચે ઉતર્યા અને હવે અતુલ્યમ 3માં જવાનું નક્કી કર્યું. આ બધું જોતા મનમાં પ્રશ્નો તો ઘણા ઉઠ્યા જેમ કે અહીં રહેતા ડૉક્ટર્સ અત્યારે ક્યાં હશે? છેલ્લે ક્યારે આવ્યા હશે? એ ફરી પાછા આવશે કે કેમ? અતુલ્યમ 3માં પૂર્વ દિશા તરફથી ઇમારતોનો થોડું ઓછું નુકસાન થયું છે. કારણ કે આ તરફ ઘણા ફ્લેટમાં આગની જ્વાળાઓ પહોંચી નહતી. પરંતુ ભયંકર સ્થિતિ વચ્ચે અહીં રહેતા લોકો કોઈપણ વસ્તુ લીધા વગર દોટ મૂકીને ભાગ્યા હશે. એ સમયે થયેલી અફરાતફરીનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે ઘણા ઘરોમાં સામાન ઠેરનો ઠેર પડ્યો છે. કોઈ લેવા પણ નથી આવ્યું. વાસણો, ઘરવખરીનો બીજો સામાન, પુસ્તકો, પાસપોર્ટ સાઇઝ ફોટો એ વાતના સાક્ષી છે કે સ્થિતિ કેટલી દયનીય હશે. અમે અતુલ્યમ 3ના પશ્ચિમ દિશામાં આવેલા ફ્લેટમાં ગયા, ત્યાં વધુ ભયંકર સ્થિતિ નજરે ચડી. પહેલી જ નજર અર્ધબળેલી ઢીંગલી પર પડી. વિચારવા માટે મજબૂર કરી નાખે એવું દૃશ્ય. આ ઘરમાં સ્વીચબોર્ડ પીગળી ગયા હતા, કિચનમાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બાની હાલત પણ એવી જ હતી. ફ્રિજના દરવાજાનું પતરું ઓગળી ગયું હતું. એક જગ્યાએ દિવાલ પર ગૌતમ બુદ્ધનો સુવિચાર લખ્યો હતો. બાજુમાં એક કબાટમાં વિઘ્નહર્તા ગણપતિની મૂર્તિ પણ એમની એમ જોવા મળી. અમે આગળ વધ્યા. એક દીવાલ પર ડૉક્ટર્સના આઈકાર્ડ લટકતા હતા, ક્યાંક કપડા અને એપ્રોન પણ અમે લટકતા જોયા. ત્યાંથી ધાબા પર ગયા. જ્યાં પાણીની પાઈપો પણ સળગેલી હાલતમાં હતી. અતુલ્યમ 3 બાદ અમે અતુલ્યમ 2 અને 1મા પહોંચ્યા. આ જગ્યાએ નુકસાની ઓછી છે, પણ દુર્ઘટના બાદ આ બે ઇમારતોનો સન્નાટો આંખો પલાળી નાખે એવો છે. કારણ કે જ્યારે જીવ પર આવી પડે ત્યારે માણસ શું છોડે અને શું લઈને જાય. આંખો સામે દરરોજ દેખાતા સાથી મિત્રો, બીજાના જીવ બચાવવા માટે હોસ્પિટલમાં દોડાદોડ કરતા ડૉક્ટર્સે જ્યારે પોતાના સાથીઓને ગૂમાવ્યા પછી અહીં ઘણાએ પોતાનો સામાન લેવા આવવાનો જીવ નહીં ચાલ્યો હોય. બધું ઠેરનું ઠેર છે, જાણે કે દુનિયા થંભી ગઈ હોય. અહીં એક ફ્લેટમાં ડૉક્ટર કે મેડિકલના વિદ્યાર્થીએ મેળવેલા સર્ટિફિકેટ, એવોર્ડ ઠેરના ઠેર પડ્યા છે. કેટલી મહેનતથી મેળવ્યા હશે! હવે બધુ નકામુ બન્યું. એક દીવાલ પર મોરનું સુંદર ચિત્ર જોયું, પ્રિસ્ક્રિપ્શન પેપર પર લખવા ટેવાયેલા હાથે આવી કળા વિચારતા કરી દે એવી કહેવાય! ફ્લેટમાં રાખ વચ્ચે દવાઓની સ્ટ્રીપ્સ પડી હતી અને બાજુમાં જ રમકડાંનો એક રોબોટ હતો. બહાર કોરિડોરમાં આવીએ તો દૂર આગની આંચમાં જરાક બળી ગયેલું ટેડીબિયર દેખાયું. નજીક જઈને જોયું તો તેના પર હજુ પણ પ્રાઇઝ ટેગ હતું. જે બાળક માટે લાવવામાં આવ્યું હશે એ કેટલું રમ્યો હશે રામ જાણે! અમે જોયું કે કોરિડોરમાં એક જગ્યાએ તળિયામાં ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. જેના પરથી ખ્યાલ આવ્યો કે તમામ બિલ્ડિંગસની ફિઝીલીબિટી ચેક કરવાની કામગીરી થઈ છે. એવું પણ સંભળાય છે કે પ્લેનની ટક્કર થયા બાદ લાગેલી આગના કારણે હવે બિલ્ડિંગ રહેવાલાયક નથી રહી. સંભાવના એવી પણ છે કે મેસ અને અતુલ્યમની ચારેય ઇમારતો જમીનદોસ્ત કરવામાં આવી શકે છે. બની શકે કે સરકાર દ્વારા આવનારા દિવસોમાં નિર્ણય લેવાય. પણ અત્યારે તો ખંડર બનેલી આ ઇમારતો 21મી સદીના અતિપીડિદાયક અને ભયંકર દિવસોની સાક્ષી છે. કોંક્રિટનું એક એવું સ્ટ્રક્ચર જ્યાં ગણતરીની મિનિટોમાં 260 લોકોના જીવ જતા રહ્યા. અતુલ્યમ તેના નામ પ્રમાણે હવે ખરેખરમાં એવું સ્થળ બની ગયું છે, જ્યાં બનેલી ગોજારી ઘટનાની કોઈ સાથે તુલના ન થઈ શકે. દિવ્ય ભાસ્કર એ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપે છે.
‘ચારેય મજૂરોએ મળી યુવાનને રગદોળ્યો. મારી મારીને અધમૂઓ કરી નાખ્યો ને અંતે બાજુમાંથી દોરી શોધી અર્ધબેભાન પડેલા એ યુવકના હાથ અને પગને કચકચાવીને બાંધી સાઇડમાં ફેંક્યો. એ રાક્ષસો ત્યાં અટક્યા નહીં. એમની નિયત વધુ બગડી. બાજુમાં ડરી ડરીને બેઠેલી એની મંગેતરને પણ ઝપટે લીધી. ચારેય હેવાનોએ વારાફરતી એ પારેવા જેવી યુવતીને પીંખવાનું શરૂ કર્યું. માર ખાઇને પડેલો મંગેતર ફરી ફરીને બચાવવા મથ્યો, પણ ત્રણ-ત્રણ મજૂરો એને મારતા ગયા અને છોકરીનો વારાફરતી રેપ કરતા ગયા. આટલું કર્યા બાદ પણ એમને સંતોષ ન થયો. ચારેયે મળીને યુગલના શરીરે પહેરલાં ઘરેણાં સહિત બધા જ પૈસા લૂંટીને શાંતિથી નીકળી ગયા...’ ધોળેદહાડે માનવતાને શર્મસાર કરતી સત્ય ઘટના વર્ણવી રહ્યાં છે IPS વિધિ ચૌધરી. અમદાવાદ શહેરનાં એડિશનલ કમિશનર, જેઓ હાલ સ્પેશિયલ બ્રાન્ચ સંભાળી રહ્યા છે. આજે મહિલાઓ દરેક ફિલ્ડમાં ઘણી આગળ વધી ચૂકી છે, પણ જો ગુજરાતના IPS બેડાની વાત કરવામાં આવે તો પુરુષોની સામે મહિલાઓનો રેશિયો સાવ નજીવો છે. પરંતુ એ થોડી મહિલાઓ પણ ‘મ્હારી છોરિયાં છોરોં સે કમ હૈ કે?’ એ વાતને સુપેરે સાચી પાડે છે. પોતાની ફરજ બજાવવા ઉપરાંત તેઓ સમાજને સુધારવા માટેની એકપણ તક નથી છોડતા. એવાં જ એક જાંબાઝ મહિલા IPS અધિકારી એટલે વિધિ ચૌધરી. કોઈ ઓફિસર ગુનેગારોને પકડવામાં માહેર હોય છે, તો કોઈ ગુનેગારોને સુધારવામાં, પણ વિધિ ચૌધરી આ બધાની સાથે સમાજ સુધારવામાં અને માણસને ગુનેગાર બનતા રોકવામાં પણ એટલી જ મહારત ધરાવે છે. આજે ‘IPS ડાયરીઝ’માં સમાજસુધારક IPS વિધિ ચૌધરી વાત કરશે એ સમયની…જ્યારે ચાર પરપ્રાંતિઓએ મળી સુરતના બીચ પર યુવતીને પીંખી… 1985માં રાજસ્થાનના નાગોરમાં જન્મેલાં વિધિ ચૌધરી મૂળ સાયન્સનાં સ્ટુડન્ટ, પણ બાદમાં ઇતિહાસ પ્રત્યે ઝુકાવ વધ્યો. ઇતિહાસ વિષય સાથે M.A. થયાં અને પોલીસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. બાદમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી અને જોતજોતામાં UPSC ક્લિયર પણ થઈ ગઈ. 2009માં તેમણે ગુજરાત કેડરથી IPS સર્વિસ શરૂ કરી. ગુજરાતમાં સુરત, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ઘણી જગ્યાએ સર્વિસ કરી ડિસેમ્બર 2024થી તેઓ અમદાવાદનાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. *** ચૌધરી મેડમ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો? IPS વિધિ ચૌધરીએ વાતની શરૂઆત કરી... ‘2013ની વાત છે. ત્યારે હું સુરતમાં ACP તરીકે ફરજ બજાવી રહી હતી અને મારા કરિયરની શરૂઆત જ થઈ હતી. એ વખતે આ કેસ બન્યો હતો. દિવાળીનો સમય હતો. શહેરમાં ઉત્સવનો માહોલ હતો. લોકોને અગવડતા ન અનુભવાય એ માટે પોલીસ વ્યવસ્થામાં લાગી હતી. એ સમયે CP સાહેબનો સુરતના બધા જ IPS માટે નિયમ હતો કે, સવારે 9-10 વાગ્યા સુધીમાં બધાએ કૉલ પર સર સાથે એક મિટીંગ કરી લેવાની, જેમાં આગળના રેગ્યુલર વર્કનો રિપોર્ટ અને પોતાની ટીમને લગતા રોજના ક્રાઇમ વિશે ડિસ્કશન કરવાનું. ભાઇબીજના દિવસે વહેલી સવારે ઊઠીને મેં ન્યૂઝ પેપર ખોલ્યું ત્યાં મારા ધ્યાને રેપનો કેસ આવ્યો. સુરતના ડુમસ બીચ પર ફરવા ગયેલા એક કપલ પર ચાર પરપ્રાંતીયોએ ગંદી રીતે ગેંગ રેપ કર્યો હતો. 9 વાગ્યા ને CP સરનો કોલ આવ્યો. ગઈ કાલની વાત કરી. હું હજુ તો એ કેસ વિશે વાત કરું, એ પહેલાં સરે જ સામેથી મને એ કેસ વિશે વાત કરી અને કહ્યું કે આના પર કામ ચાલુ કરો. દરઅસલ ઘટના એવી બની હતી કે…’ 12 નવેમ્બર, 2013ડુમસ બીચ, સુરતસુરતના મુખ્ય પર્યટન સ્થળ પર ફેસ્ટિવલના કારણે આખો દિવસ લોકોનું કિડિયારું ઊભરાયું હતું. સૂર્યાસ્ત થવાનો ટાઈમ નજીક આવતાં પર્યટકોએ રિટર્ન જવાની શરૂઆત કરી દીધી હતી. બીચ સુંદર, પણ આખા બીચ પર એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી. એટલે રાત્રે બીચના એરિયામાં એકદમ કાળોડિબાંગ અંધકાર છવાઈ જાય. એમાંય દિવાળીના પછીનો દિવસ એટલે અમાસના કારણે ઘોર અંધારું થઈ જાય. ઉપરથી આવી જગ્યા એટલે કોલેજીયન્સ અને દારૂડિયાઓનો અડ્ડો ન બને એની સાવચેતીરૂપે પોલીસે પહેલેથી સાંજે 6 વાગ્યા પછી ત્યાં રહેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એવામાં ત્યાં એક નવી નવી સગાઈ થયેલું પ્રેમીજોડકું આવ્યું હતું. સગાઈ પછીનો અને લગ્ન પહેલાંનો સમય એટલે પ્રેમનો ઊભરો, પણ રહેવાનું દૂર એટલે બને એટલો ટાઈમ સાથે ગાળવાનો અભરખો હોય તે સમજી શકાય તેવું છે. ડુમ્મસ બીચ પર બંને ફરવા આવ્યાં. આખો દિવસ સાથે ગાળ્યો હતો, પણ નવો નવો પ્રેમ એટલે સાથે વધારે ટાઇમ એકલતામાં પસાર કરવાની લ્હાયમાં રાત્રે અંધારું થઈ ગયા બાદ પણ બંને ત્યાં ને ત્યાં અંધારામાં બેસી રહ્યાં. એવામાં ત્યાંથી પાવરલૂમ સેક્ટરમાં કામ કરતાં ચાર પરપ્રાંતીય મજૂરો નીકળ્યા. અંધારામાં ચાલી ને જતા હતા ત્યાં એકલામાં બેઠેલા આ કપલ પર એમની નજર પડી. મોડી રાત, ખાલી શહેર ને અંધારપટ એટલે ચારેયની નિયત બગડી. આ કપલની નજીક જઈને ચારેયે ગંદી ગંદી કોમેન્ટ્સ શરૂ કરી. એમાં છોકરાનો ઇગો હર્ટ થયો. પોતાની મંગેતરને બચાવવા એ સામે પડ્યો, પણ સામે તો ચારેય મજબૂત મજૂરો. લેપટોપ અને મોબાઈલ પર આંગળીઓ ફેરવતો જુવાન પાવરલૂમનાં મશીનો હેન્ડલ કરતા હાથો સાથે કેમ બાથ ભીડી શકે? ચારેય મજૂરોએ મળી યુવાનને ખરાબ રીતે માર્યો. મારી મારીને અધમૂઓ કરી મૂક્યો ને અંતે બાજુમાંથી દોરી શોધી અર્ધબેભાન પડેલા યુવકના હાથ અને પગને કચકચાવીને બાંધીને એને સાઇડમાં ફેંક્યો. એ ચીંથરેહાલ કપલે ઝૂંપડપટ્ટીમાંથી કપડાં માગ્યાં અને ઘરે ફોન જોડ્યો એ રાક્ષસો ત્યાં અટક્યાં નહીં. એમની નિયત વધુ બગડી. બાજુમાં ડરી ડરીને બેઠેલી મંગેતરને ઝપટે લીધી. ચારેય હેવાનોએ વારાફરતી એ પારેવા જેવી યુવતીને પીંખવાનું શરૂ કર્યું. માર ખાઇને પડેલો મંગેતર ફરી ફરીને એને બચાવવા મથ્યો, પણ ત્રણ-ત્રણ મજૂરો એને મારતા ગયા અને છોકરીનો વારાફરતી રેપ કરતા ગયા. આટલું કર્યા બાદ પણ આ હેવાનોને સંતોષ ન થયો. ચારેયે મળી યુગલનાં શરીરે પહેરેલાં ઘરેણાં સહિત બધાં જ પૈસા લૂંટીને શાંતિથી ત્યાંથી નીકળી ગયા. માહોલ એકદમ શાંત હતો. પ્રતિબંધિત વિસ્તાર હતો એટલે CCTV તો દૂર, કોઈ ચકલુંય ફરકવાવાળું નહીં. એટલે કોઇને આ ભયાનક ઘટનાની ભનક પણ ન આવી અને ચારેય રાક્ષસો ભાગી ગયા. અંદાજે બેએક કલાક સુધી યુવક-યુવતી એમની સાથે થયેલી દુર્ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં હતાં અને શું કરવું? શું બોલવું એ કોઈ વાતનો વિચાર પણ ન કરી શક્યાં. એમનાં તન-મન પર શું વીતી હશે, એ વિચારીને આજે પણ આપણે થથરી ઊઠીએ. અંતે યુવતીએ ઊઠી એના મંગેતરના હાથ-પગ છોડ્યા અને બંને ઘણું રડ્યાં. ઘરે શું કહેવું? કેવી રીતે વાત કરવી? ઘણા પ્રશ્નો હતા, પણ ઘરે વાત કર્યા વિના છૂટકો નહોતો. પરંતુ બંનેનાં કપડાં એ હદે ફાટી ગયાં હતાં કે પહેર્યાં ન પહેર્યાં જેવી હાલત થઈ ગઈ હતી. એ કપડાં પહેરે ઘરે તો દૂર ત્યાં બીચ પરથી બહાર પણ જઈ શકાય એવી હાલત રહી નહોતી. માંડ માંડ ઊભાં થઈ બંને ત્યાં નજીકમાં ઝુંપડપટ્ટી પાસે પહોંચ્યાં. એકાદ ઘરમાં જઈ એમની પાસેથી થોડાં કપડાં લીધા અને પાણી પીધું. એમની પાસેથી જ ઘરે ફોન કરી પરિવારને ત્યાં બોલાવ્યો. થોડી વારમાં પરિવાર આવી જતાં, દવાખાને ભાગ્યાં. ડૉક્ટરે ઈલાજ કરી આપ્યો પણ પોલીસને વાત કરવાનું કહ્યું, તો પરિવારે ના પાડી કે અમારે દીકરીનું નામ ખરાબ થાય એવું નથી કરવું. અંતે ત્યાંથી પણ કોઈ ફરિયાદ ન થઈ. *** ગેંગરેપ, લૂંટ અને માર મારવા છતાં પરિવારે પોલીસ ફરિયાદ ન નોંધાવી આટલી મોટી ઘટના ઘટી, પણ આ બંને યુવક-યુવતીએ કે એમના પરિવારે કોઈ પોલીસ ફરિયાદ જ ન નોંધાવી. સમાજનો ડર! લોકો શું કહેશે અને બધાં મારી દીકરી સામે કેવી નજરે જોશે? એવું વિચારી પરિવાર પોલીસ પાસે જ ન આવ્યો. પરંતુ એ પીડિતનો પાડોશી એક પત્રકાર હતો. પત્રકારને માહિતી મળી એટલે એણે કોઈનાં નામ લીધા વિના આખી ઘટના બીજા દિવસના ન્યૂઝપેપરમાં છાપી દીધી. અમારી પાસે ઘટનાની માહિતી પહોંચી. ગંભીર ઘટના હતી એટલે ગુનેગારો સુધી પહોંચવું જરૂરી હતું. અમે એ ન્યૂઝપેપર સાથે વાત કરી અને કોઈપણ રીતે મનાવી એ પરિવારનો સંપર્ક સાધ્યો. જો પોલીસની રીતે પરિવાર પાસે જઈએ તો એ લોકો એક શબ્દ ન બોલે. એટલે સાદા પરિવેશમાં હું અને સાથે બીજી બે-ત્રણ મહિલા ઓફિસરોને લઈ એમના ઘરે સાંત્વના આપવા ગયાં. ઘરે જઈ પરિવાર સાથે વાત કરી, ધીમે ધીમે એકાદ કલાક બેઠાં તો પરિવારે વાત વાતમાં બધી માહિતી આપી દીધી. ખાતરી થઈ અને ગુનાની જાણકારી મળી એટલે મેં અમારી ઓળખ એમને આપી દીધી અને ફરિયાદ નોંધાવવા મનાવ્યાં. પણ પરિવાર કોઈ કાળે ફરિયાદ કરવા માનવા તૈયાર જ ન થાય. ફરિયાદ ન થાય તો શું થયું આ ગુનેગારોને પકડવા જરૂરી હતા. મારા IPS કરિયરનો સ્વતંત્ર રીતે આ પહેલો કેસ હતો. અંતે મેં CP સર સાથે વાત કરી, સરે મને જ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર બનાવી અને અમે આ કેસમાં સૂઓમોટો દાખલ કરી. સુરતની અને દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી સૂઓમોટો! અને ઇન્વેસ્ટિગેશન શરૂ થયું! પરંતુ આરોપીઓને શોધવા કઈ રીતે? કોઈ CCTV નહીં. કોઈ આઈ વિટનેસ નહીં. રાત્રે ઘોર અંધારામાં ગુનો થયો હતો એટલે વિક્ટિમને પણ કોઈ આરોપીનો સરખો ચહેરો યાદ નહોતો. હું ટીમને લઈ લોકેશન પર પહોંચી અને બધું તપાસવાનું શરૂ કર્યું, બીચથી લઈ બહાર સુધી ત્યાં રહેતા હોય કે ત્યાં કામ કરતાં હોય એ દરેકની પૂછપરછ કરવાની શરૂઆત કરી. સાંજ સુધી બધું ફંફોળ્યું અને પૂછપરછ કરી તો એક કડી મળી. એક રિક્ષાવાળો મળ્યો, જેણે કહ્યું કે, કાલે રાત્રે મેં અહીં ડુમસ બીચ પર ચાર મજૂરને છોડ્યા હતા. મને પણ શંકા ગઈ કે ડુમસ બીચ તો અત્યારે બંધ હોય છે, તો ત્યાં અત્યારે કેમ? પણ હું એવું તો એમને પૂછી ન શકું, એટલે વાત આગળ ન વધી. રિક્ષાવાળાએ કહ્યું કે એ ચાર લોકોને મેં તમે કહેલા ટાઈમના થોડી વાર પહેલાં જ ડુમસ બીચ પર ઉતાર્યા હતા. રાતનો ટાઈમ અને ઉપરથી આ રિક્ષાવાળાની તો પાછળ બેઠા હતા, એટલે એણે પણ કોઇનો ચહેરો તો જોયો નહોતો. એટલે વાત ત્યાં પણ અટકી ગઈ. પણ એની પાસેથી આગળનું લોકેશન મળી ગયું કે, એ લોકો ક્યાંથી આવ્યા હતા. મેં એની જુબાની લેવડાવી. ચારેય આરોપી બિહારી હતા અને લિંબાયતથી અહીં ડુમસ આવ્યા હતા. અમે લિંબાયતથી પૂછપરછ શરૂ કરી. ત્યાં પણ એક ક્લૂ મળ્યો કે એ અહીં બાજુના એક ગલ્લા પર પાણી પીવા ઊભા રહ્યા હતા. અમારી ટીમ ત્યાં પહોંચી અને પૂછપરછ કરી તો એ લોકો ત્યાં પોતાની કંપનીની વાત કરતા હતા. એટલે ખબર પડી કે ચારેયનું કામ પાવરલૂમ ઇન્ડસ્ટ્રીમાં જ હતું. ચારેય બિહારી ત્યાં જ મજૂરી કરતા હતા. બીજી બાજુ, હવે કદાચ એ આરોપી પકડાય તો પણ એમનો આરોપ સાબિત કઈ રીતે કરવો? એ માટે ફોરેન્સિક ટીમને એ પીડિતાને ઘરે મોકલી એ યુવતીને મનાવી એનાં કપડાં પરથી થોડાં ફિંગરપ્રિન્ટ અથવા શરીર પર લાગેલું લોહી અને બીજા હેલ્થકેરના લગતાં ફોરેન્સિક સેમ્પલ લેવામાં આવ્યાં. જેથી આરોપી પકડાય તો વેરિફાય કરી ગુનો સાબિત થઈ શકે. શરૂઆતમાં યુવતી માનવા તૈયાર નહોતી, પણ પછી એને જાણ થઈ કે એને ન્યાય અપાવવા માટે કેસ ઓલરેડી રજિસ્ટર્ડ થઈ ગયો છે, એટલે એને પણ થોડો કોન્ફિડન્સ આવ્યો. આ બધામાં યુવતી, યુવક, રિક્ષાવાળા અને પાણીની બોટલ લીધી એ ગલ્લાવાળો, એ બધા પાસેથી વાત કઢાવી તો ચારેયના શરીરના બાંધા, રંગ, એમની બોલી ને ચહેરાની થોડી થોડી વિગતો તો મળી ચૂકી હતી, પણ એમના સુધી પહોંચવા એ પૂરતી નહોતી. પોલીસની તપાસ ચાલતી હતી. આ બધા વચ્ચે ઉપરવાળાની દયાથી જે રિક્ષાવાળો એ ચારેયને લઈ ડુમસ સુધી આવ્યો હતો, એ રિક્ષાવાળાને એ જ એરિયામાં ચાર દરિંદામાંનો એક દેખાયો. રિક્ષાવાળો ઓળખી ગયો એમને. તરત જ એણે અમને ફોન કર્યો અને માહિતી આપી. અમારા PI સીધા જ દોડીને મારી પાસે આવ્યા કે મેડમ આ એ લોકો જ લાગે છે. અમે ટીમ લઈ ઝડપથી લોકેશન પર પહોંચ્યા અને સાથે એ પીડિત યુવકને પણ રાખ્યો. ‘મેડમ, આ જ છે એ દરિંદો, પકડી લો એને...’ ત્યાં જઇને જોયું તો યુવક તરત જ એ રાક્ષસને ઓળખી ગયો અને બૂમ પડી બેઠો કે, મેડમ આ જ છે એ. અમારા ઓફિસર્સ ગાડીમાંથી ઊતર્યા અને આરોપીને ઝડપી લીધો. અંદર બેસાડી પૂછપરછ શરૂ કરી પણ ભાઈ એક શબ્દ બોલવા તૈયાર નહોતો. બાદમાં આ છોકરો જેવો સામે આવ્યો એટલે ઢીલો પડ્યો અને બધું કબૂલ્યું. બસ પછી તો વાત પૂરી, એણે જ પોતાની સાથેના ચારેય જણા વિશે માહિતી આપી દીધી. પણ હાલમાં એ બધા બહાર હતા એટલે 1-2 દિવસમાં એના સુધી પહોંચી પોલીસે એમને પણ ઝડપી લીધા. યુવતી અને યુવકે પણ એમની ઓળખ કરી લીધી અને મેડિકલ એવિડન્સ પણ મળી ગયા. આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને ઘટનાનાં દોઢ વર્ષ બાદ ચારેયને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી. આરોપીને સજા થઈ ગઈ, ચારેય જેલમાં ગયા. એકાદ વર્ષમાં સુરતથી મારી બદલી પણ થઈ ગઈ. પણ 2015 બાજુ મને સમાચાર મળ્યા કે, આ કેસનો મુખ્ય આરોપી એક અઠવાડિયાના જામીન લઈને ગયો હતો, પણ ત્યાંથી પછી ભાગી ગયો છે. પરત જેલમાં આવ્યો જ નથી. હવે એ ટાઈમે હું સુરતમાં નહોતી, એટલે સુરતના કેસમાં હું કોઈ દખલઅંદાજી ન કરી શકું. પણ આ વાત મને ઘણી ખૂંચી. મેં આ વાત મારા મનમાં રાખી અને સુરત મારું પોસ્ટિંગ થવાની રાહ જોઈ. જોતજોતાંમાં બે-ત્રણ વર્ષમાં જ 2018માં મારું પોસ્ટિંગ ફરી સુરતમાં થયું, આ વખતે DCP તરીકે. બસ, મારા એક ટાર્ગેટમાં એ કેસ યાદ જ હતો. મેં ફરી મારી રીતે તપાસ ચાલુ કરાવી અને થોડા જ દિવસોમાં એને શોધી લીધો. એ ભાઈ તો ત્યારે એનો આખો વેશ બદલીને IIT, ખડગપુરમાં પટ્ટાવાળાની જોબમાં લાગી ગયો હતો. અમે એને ફરી પકડ્યો અને વધુ સજા સાથે જેલમાં નાખ્યો. *** આટલું જ નહીં, મહિલાઓનો કેસ આવે ત્યારે કોઈ સામાજિક અત્યાચાર થાય ત્યારે વિધિ ચૌધરી સૌથી આગળ હોય છે. 2018માં જ્યારે તેઓ સુરતમાં DCP તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે ફરી એક એવો જ કિસ્સો બન્યો...જ્યારે સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરીનો કોઇએ રેપ કરી લાશ પોટલામાં બાંધી મૂકી દીધી…વિધિ મેડમે એ થથરાવી મૂકે તેવા કેસની વાત શરૂ કરી *** સાંજના 7:30 વાગ્યાનો સમય 15 ઓકટોબર, 2018ગોડાદરા, સુરતબે-ત્રણ મહિના પહેલાં જ મહારાષ્ટ્રથી સુરતમાં રહેવા આવેલો મરાઠી પરિવાર ખુશીથી જીવન વિતાવતો હતો. ચાર-પાંચ વર્ષ પહેલાં લગ્ન થયેલાં પતિ-પત્ની ને સાથે બે દીકરી અને એક દીકરો સુરતની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં સુખેથી જીવી રહ્યાં હતાં. એમાં એક દિવસની વાત. રોજની જેમ આજે પણ ઘરના મોભી નારાયણભાઈ ઘરે આવ્યા એટલે ત્રણેય બાળકો એમને વળગી પડ્યાં ને રમતો ચાલુ થઈ. એવામાં પત્નીએ યાદ કરાવ્યું કે, ‘મી કાય મ્હણતે? વો લોન કે પૈસે ભરને કી ડેટ આ રહી હૈ, જરા વક્ત હો તો દે કર આઓ ના.’ નારાયણભાઈને થયું કે, ફ્રી છું તો ચલો આપતો જ આવું. મોટી 6 વર્ષની દીકરી પપ્પા માટે પાણી લેવા ગઈ, ત્યાં પિતાએ સાડા ત્રણ વર્ષની દીકરીને ખોળામાંથી નીચે ઉતારી અને ઘોડિયામાં સૂતેલા ચાર માસના દીકરાના કપાળે ચુંબન કરી નીકળવાની તૈયારી કરી. ત્યાં મોટી દીકરી પાણી લઈને આવી. પાણી પીધું અને નીકળવાની તૈયારી કરી એટલી વારમાં વચલી ફરી ગળે વળગી પડી કે મારે પણ સાથે આવવું છે. હવે આટલી રાત્રે વરસાદી વાતાવરણમાં ડીંડોલી સુધી એ દીકરીને કેમ લઈ જવી એટલે નારાયણભાઈએ 5 રૂપિયા આપી દીકરીને મનાવી અને ઘરેથી એકલા નીકળ્યા. અડધો કલાક થયો, પણ દીકરી ઘરે પાછી જ નહોતી આવી એક કલાક પછી, 8:30 PM વાગ્યે નારાયણભાઈ ઘરે પાછા આવી ગયા. પત્ની રસોઈ તૈયાર કરતી હતી. મોટી દીકરી વાંચવા બેઠી હતી અને નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો, પણ વચલી દીકરી ન દેખાઈ. પત્ની દિપીકાબેનને પૂછ્યું,‘દીકરી ક્યાં ગઈ?’‘તમે પાંચ રૂપિયા આપીને ગયા હતા તો થોડી વાર પહેલાં કંઈક નાસ્તો લેવા ગઈ છે.’ દીકરીની મા બોલી.‘કેટલા વાગ્યે ગઈ હતી?’‘આઠેક વાગ્યે ગઈ હતી’નારાયણભાઈએ ઘડિયાળમાં જોયું, ‘હેં? 8 વાગ્યે? સાડા આઠ થયા. અડધા કલાકથી હજુ પાછી નથી આવી? દુકાન તો સામે જ છે. હું જોતો આવું.’બહાર જઈ જોયું તો ત્યાં કોઈ નહીં. આજુબાજુ તપાસ કરી તો ત્યાં પણ કોઈ નહીં. શેરીમાં પૂછ્યું, તો ત્યાં પણ કોઈએ દીકરીને જોઈ નહોતી. નારાયણભાઈ હવે હાંફળા ફાંફળા થયા. પત્નીને પણ ઘરેથી બોલાવી, દીકરીને શોધવાનું ચાલુ કર્યું. આજુબાજુનો આખો વિસ્તાર ફંફોળી માર્યો. પણ દીકરી ક્યાંય મળે નહીં. એકાદ કલાક સુધી શોધખોળ કરી પણ દીકરી મળી નહિ, એટલે વધુ ચિંતા થઈ. પરિવારનો છેલ્લો આશરો હતો પોલીસ. નારાયણભાઈ પોલીસ સ્ટેશને ભાગ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશને હાજર માણસો થોડી જ વારમાં એમના ઘરે પહોંચ્યા અને તપાસ કરાવી. થોડી વાર સર્ચ ઓપરેશન કર્યું પણ બાળકી ક્યાંય મળી નહીં એટલે અપહરણની શંકા ગઈ. મોડી રાત્રે મને ફોન આવ્યો કે, મેડમ આવી ઘટના બની છે. જેવી જાણ થઈ એટલે હું રાત્રે જ ત્યાં લોકેશન પર જવા નીકળી. રસ્તામાં મારા બેસ્ટ ઓફિસર્સને પણ જાણ કરી બોલાવી લીધા, અને ઘટનાસ્થળે હાજર જવાનો પાસેથી ડિટેલ્સમાં માહિતી મેળવી લીધી. અભેરાઈ પર પ્લાસ્ટિકનો કોથળો હતો, જેના પર લોહીના તાજા ડાઘ હતા લોકેશન પર જઈ ત્યાંના તપાસના બધા રિપોર્ટ લીધા અને ચેક કર્યું, પણ છોકરી ભાગી હોય એવું કશું જ મળ્યું નહિ. એટલામાં મારા ધ્યાને આવ્યું કે ત્યાં નારાયણભાઈ જ્યાં પહેલા માળે રહેતા હતા એ ઘરના નીચેના રૂમમાં નીચેના એક દરવાજે તાળું મારેલું છે. નારાયણભાઈને પૂછ્યું તો ખબર પડી કે, અહીં મકાનમાલિકનો ભાણેજ સન્ની રહે છે, પણ એ તો 15 દિવસથી અહીં હાજર નથી એટલે એનો મિત્ર થોડા દિવસથી રહે છે. આજે સવારથી ઘરે જ હતો, પણ અત્યારે બહાર ગયો લાગે છે. ફોન કરી પૂછપરછ કરાવી, પણ કોઈ જવાબ ન મળ્યો. મને વધુ શંકા ગઈ, એટલે મેં તાળું તોડાવ્યું અને અંદર તપાસ કરાવી. નાનકડું ઘર હતું, એટલે તપાસતાં વાર ન લાગી. આખું ઘર ફંફોળી પોલીસ જવાનો મારી પાસે આવ્યા કે, ‘કશું નથી મળ્યું.’ મેં PI સી. આર. જાદવને મોકલ્યા કે, જાઓ તો તમે એકવાર નજર નાખતા આવો. PI જેવા અંદર ગયા, બે જ મિનિટમાં બૂમ પડી,‘મેડમ, જલદી અંદર આવો!’ જે રીતનો અવાજ હતો, કશુંક અજુગતું થવાની આશ હતી, હું ભાગીને અંદર ગઈ. PIની નજર રૂમના માળિયા (અભરાઈ) પર હતી. માળિયામાં એક પ્લાસ્ટિકનો પીળા કલરનો નાનકડો કોથળો પડ્યો હતો, જેમાં લોહીના ડાઘ દેખાતા હતા, એ પણ તાજા અને ભીના! અમારી સૌથી ભયાનક શંકા સાચી પડી. એ કોથળામાં દીકરીની લાશ હતી. મેં તરત જ ફોરેન્સિક ટીમને બોલાવી અને ત્યાંથી બધું ઇન્વેસ્ટિગેશન અને પુરાવા એકત્ર કરાવડાવ્યા. દીકરી તો મળી ગઈ, પણ કઈ હાલતમાં? લાશ! કિડનેપિંગની શંકા હતી એ મર્ડરમાં ફેરવાઈ. હજુ વાત એટલેથી અટકે એમ નહોતી. ફોરેન્સિક રિપોર્ટ વધુ હેરાન કરવાનો હતો. બીજા દિવસે જ ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ જોઈને મારા પગ નીચેથી જ જમીન સરકી ગઈ. કેમ કે ફક્ત સાડા ત્રણ વર્ષની બાળકી પર ગંદી રીતે બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. રિપોર્ટ વાંચતાંવેંત જ મારી આંખો ભીની થઈ ગઈ. નક્કી કર્યું કે કોઈ પણ કાળે આ હેવાન આરોપીને જલદીથી જલદી પકડીશું. ત્યાં સુધીમાં એ આરોપીનો રિપોર્ટ પણ આવી ગયો. નામ હતું અનીલ યાદવ. મૂળ બિહારનો. રાત સુધી ઘરે હાજર જ હતો, પણ દીકરી ખોવાઈ એ પછીથી ત્યાં તાળું મરેલું હતું. જેવી લાશ મળી એટલે ત્યાં સોસાયટીમાં રહેતા લોકોએ નિવેદન પણ આપ્યાં, જેના પરથી અનિલ પર શંકા દૃઢ થઈ. *** દીકરીને ફોસલાવીને એ હેવાન ઘરની અંદર લઈ ગયો અને... ઘટના એવી ઘટી હતી કે, ‘દીકરીને પૈસા મળતાં એ નાસ્તો લેવા નીચે જતી હતી, પણ હજુ આગળ વધે એ પહેલાં ત્યાં દરવાજા પાસે ઊભેલા 20 વર્ષીય રાક્ષસ અનિલે એની સાથે વાત ચાલુ કરી. થોડી વાર સુધી ફોસલાવી વાતો કરતો રહ્યો. છોકરી એને ઓળખતી જ હતી, કેમ કે નીચેના ઘરમાં જ રહેતો હતો. વાતવાતમાં દીકરીને ઘરની અંદર બોલાવી અને મોઢું રૂંધી ગંદી રીતે દીકરીનો રેપ કર્યો. એટલેથી ન અટકી અનિલે એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું. બાદમાં લાગ્યું કે, જો આ જીવતી રહેશે તો બહાર જઈ બધાને મારું નામ આપી દેશે. એટલે ગળું દબાવી માસૂમ દીકરીને મારી નાખી. લાશ પ્લાસ્ટિકની કોથળીમાં ભરી ચોકડીની ઉપરના માળિયામાં ચડાવી અને ઘરે તાળું મારી પોતે ભાગી ગયો. *** એ નરાધમ ઘરમાં અંડરવેર પહેરીને પડ્યો હતો નારાયણભાઈની બાજુમાં જ રહેતા શ્યામનારાયણ પાંડે અમારી પાસે આવ્યા. એમણે માહિતી આપી કે, ‘નારાયણભાઈ હપ્તો ભરી ઘરે આવ્યા પછી એમની દીકરી નહોતી મળતી, એટલે અમે પણ સાથે શોધવા મંડી પડ્યા હતા. એમાં શોધતો શોધતો હું અનિલના ઘરે પણ ગયો હતો, પણ અનિલ ચડ્ડી પહેરીને સૂતો હતો. હું ખીજાયો પણ ખરો કે, અહીં નારાયણની દીકરી ખોવાઈ ગઈ છે અને તું સૂતો છે? તો એ નફ્ફટે મોઢે કહી દીધું કે, ‘મેરેકો નીંદ આ રહી હૈ, મુજે સોને દો.’ એમ કહી દરવાજો બંધ કરી દીધો. એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો.’ સોસાયટીમાં જ રહેતી 19 વર્ષની બીજી એક યુવતીએ પણ પોલીસને વાત કરી, ‘શોધખોળ ચાલુ કરી ત્યારે મેં પણ અનિલનો દરવાજો ખખડાવ્યો હતો. અનિલે અડધો જ દરવાજો ખોલી તોછડાઈથી કહ્યું કે, ‘ક્યા હૈ? મેરેકો નીંદ આ રહી હૈ.’ હું હજુ વધુ પૂછવાની હતી પણ એ નફ્ફટ અનિલ ખાલી અંડરવેર પહેરીને આંટો મારતો હતો. એટલે વધુ કોઈ વાત કરવાને બદલે હું નીકળી ગઈ હતી. દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી ફાંસી અનિલ આરોપી હતો એ નક્કી થઈ ચૂક્યું હતું, અમે તપાસ વધુ મજબૂત રીતે શરૂ કરી. એક ટીમને મેં અનિલનો ડેટા કઢાવવા માટે લગાવી અને બીજી ટીમને ટેક્નિકલ મદદ માટે. થોડા જ કલાકોમાં બંને બાજુથી જે રિપોર્ટ આવ્યા એ પરથી કેસ આસાનીથી સોલ્વ થઈ ગયો. અનિલના સબંધીઓ, એની નોકરીની જગ્યા, બધે જ તાપસ કરી. ખબર પડી કે, અનિલ મૂળ બિહારના બક્સરનો છે અને અહીં કારખાનામાં જોબ કરે છે. કારખાનામાં તપાસ કરી તો અનિલનું કેરેક્ટર સર્ટિફિકેટ મળ્યું. બીજી બાજુ અનિલના ફોટોગ્રાફ્સ તો મળી જ ગયા હતા. એના પરથી સોસાયટીથી આજુબાજુના વિસ્તારના CCTV તપાસવાનું શરૂ કર્યું. CCTV ફૂટેજની ચકાસણી પરથી ખબર પડી કે અનિલ રેલવે સ્ટેશન બાજુ જ ગયો છે. સામે ટેક્નિકલ ટીમને અનિલનો મોબાઈલ નંબર આપ્યો હતો, ત્યાંથી પણ રિપોર્ટ આવ્યો કે, છેલ્લો ફોન એણે બક્સર કર્યો છે અને છેલ્લું લોકેશન રાજસ્થાનના એક ગામડા પાસેની એક નદીનું બતાવે છે. બધી કડી એકબીજા સાથે જોડાતી હતી. ક્લિયર હતું કે, અનિલ મૂળ બક્સરનો છે, છેલ્લો ફોન પણ ત્યાં કર્યો હતો, અને જ્યાં સિમકાર્ડનું છેલ્લું લોકેશન બતાવે છે, એ રસ્તો સુરતથી બક્સરના રેલવે ટ્રેકનો છે. મતલબ કે, અનિલ ગુનો કરી ત્યાં જવા નીકળી ગયો છે. મેં ક્રાઇમ બ્રાન્ચના બેસ્ટ ઓફિસરોની ટીમ બનાવી અને એમને તાત્કાલિક ધોરણે પ્લેનમાં બિહાર મોકલ્યા. ત્યાંની લોકલ પોલીસ સાથે વાત કરી એમનો સપોર્ટ લીધો અને બક્સર પહોંચી ગયા. અનિલ ઘરે જ હતો, ત્યાંથી જ ધરપકડ કરી અને અનિલને લઈ સુરત આવ્યા. હું ખુદ મહેનતે લાગી, ટીમ અને PP સાથે મળી થોડા દિવસોમાં જ મોટી અને ઇનડિટેઈલ ચાર્જશીટ બનાવી કોર્ટમાં રજૂ કરી. જોતજોતાંમાં એક-બે મહિનામાં જ કેસનો ચુકાદો આવી ગયો અને અમારી મહેનત લેખે લાગી, અનિલ યાદવને ફાંસીની સજા થઈ. સુરત અને દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી ફાંસી!
અંજારમાં અને ભુજમાં પી.જી.વી.સી.એલ.એ શિયાળની ઋતુનો લાભ લઈને મરંમતની તક જડપી લીધી છે. પરંતુ, એથી નર્મદાના પાણીના પમ્પિંગના અભાવે પાણી વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે, જેથી નગરપાલિકાને ઘરોઘર નળ વાટે પાણી પહોંચાડવામાં ભારે તકલીફ પડી રહી છે. ભુજમાં શહેરીજનોને પીવાનું પાણી સ્થાનિક સ્રોતમાંથી પૂરું પાડી નથી શકાતું. શિયાળામાં દૈનિક 35 એમ.એલ.ડી. એટલે કે 350 લાખ લિટર પાણીની જરૂરિયાત જી.ડબ્લ્યુ.આઈ.એલ. દ્વારા નર્મદાના નીર આપીને પૂરી કરાય છે. ક્યારેક નગરપાલિકાની પાઈપ લાઈન તો ક્યારેક જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાય છે, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે. અધૂરામાં પૂરું વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પમ્પિંગના અભાવે પાણી આગળ ધકેલી નથી શકાતું. છેલ્લા 15 દિવસમાં 525 એમ.એલ.ડી.ની જરૂરિયાત સામે માત્ર 356 એમ.એલ.ડી. પાણી મળ્યું છે! આમ, 169 એમ.એલ.ડી.ની ઘટ એટલે કે 1690 લાખ લિટરની ઘટ સર્જાઈ છે. શિયાળામાં પંખા, એ/સી બંધ રહેતા હોય એનો લાભ લઈને પી.જી.વી.સી.એલ. દ્વારા શનિવારે મરંમતનું કામ કરાયું હતું, જેથી વીજ પ્રવાહ બંધ રહ્યો હતો. જેના કારણે સવારે 10 વાગ્યાથી રાત્રે 1.30 વાગ્યા સુધી નર્મદાના નીર અંજારથી કુકમા સમ્પે પહોંચી નહોતા શક્યા. એવી જ રીતે ગઈકાલ ગુરુવારે સવારથી વીજ પ્રવાહ બંધ થયો અને સાંજે શરૂ થયો હતો, જેથી પાણી આગળ ધકેલી નહોતા શકાયા. સૂત્રોના જણાવ્યા મુજબ વારંવાર વીજ પ્રવાહ બંધ થવાથી આડઅસર રૂપે જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની મુખ્ય પાઈપ લઈનોમાં તિરાડો પડવા લાગી છે, જેથી એની મરંમતમાં પણ પાણી બંધ થઈ જાય છે. હા, વીજ પ્રવાહ ન મળતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ : ચેરમેનભુજ નગરપાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કરે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પાણીને અંજારથી ભુજીયા સમ્પે લઈ આવવા માટે પમ્પિંગ કરવું પડે. એના માટે વીજ પ્રવાહની જરૂર પડે. પરંતુ, પી.જી.વી.સી.એલ. શિયાળામાં મરંમતનું કામ કરે છે, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. જોકે, શિયાળો છે એટલે લોકોનો વપરાશ ઘટી જતા લોકોની બહુ ફરિયાદો આવતી નથી.
કચ્છના વર્ષો જુના જમીન મહેસુલના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે ભુજ ધારાસભ્યની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાળ ઉકેલ આણવા ઉચ્ચ અધિકારી કક્ષાએ સૂચના આપી હતી. ધારાસભ્ય કેશુભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ક્રેડાઇના પ્રવીણ પિંડોરિયા, ચેમ્બર ઓફ કોમર્સના અનિલ ગોર, ગોપાલ ગોરસિયા, બાલકૃષ્ણ મોતા અને જગત વ્યાસ એ રજુઆત મુખ્યત્વે જમીન માપણી વધારવા, નવી જૂની શરત સહિતની રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું કે મહેસુલ તંત્ર દ્વારા કચ્છમાં જમીન માપણી અગાઉ 1962થી 1967 સુધી માત્ર પાંચ વર્ષ માટે થઈ હતી, માપણી વધારવા માટે કિસાનો રજૂઆત કરતા રહ્યા છે પણ દાયકાઓથી વિસંગતતાઓ રહી ગઈ છે જે નિવારવી જરૂરી છે. તે રીતે નવી જૂની શરત તબદીલીને લગતા મામલે રજૂઆત સમજ્યા બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારી અવંતિકા જી અને મહેસુલ સચિવ જયંતિ રવિને પણ વાકેફ કરતા મહેસુલ સચિવે કચ્છના કલેક્ટરને મહેસુલી મુદ્દે અભ્યાસ કરીને નિર્ણય માટે પ્રક્રિયાની સૂચના આપી હતી. જરૂર પડયે માપણી તેમજ અન્ય જટિલ મુદ્દે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાની ટીમ મોકલવાની પણ હૈયાધારણ આપતા પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
તાલુકાના ધાણેટી ગામમાં રહેતા દિવ્યાંગ યુવાન પ્રવીણભાઈ સામજીભાઈ માતાએ ગામમાં બાવળિયા નીચે બેસી નિજાનંદ માટે શરૂ કરેલી કોમેન્ટ્રીએ તેને આંતરરાષ્ટ્રીય સફર સુધી પહોચાડ્યો છે. આગામી જાન્યુઆરી મહિનામાં શ્રીલંકામાં યોજાનાર ભારત-શ્રીલંકાની દિવ્યાંગ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધ પારા ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા કોમેન્ટર તરીકે તેની પસંદગી કરવામાં આવી છે. વાત છે ધાણેટી ગામના 35 વર્ષીય દિવ્યાંગ યુવાન પ્રવીણભાઈ સામજીભાઈ માતા(આહીર)ની. આમ તો દસેક વર્ષની ઉમરથી જ પોતાની બોલવાની આગવી છટાથી લોકોને પ્રભાવિત કરનાર યુવાને વર્ષ 2014 થી ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરવાની શરૂઆત કરી હતી. ધાણેટી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી મેચ દરમિયાન પોતાના ગુરુ હીરજી મેક્સ સાથે બાવળના ઝાડ નીચે બેસી કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આસપાસના ગામોમાં યોજાતી ટુર્નામેન્ટમાં પણ દિવ્યાંગ યુવાનને કોમેન્ટ્રી માટે આમંત્રિત કરવામાં આવતો હતો અને પોતાના અવાજ અને રમુજી શૈલીથી લોકોના હદયમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારે હવે આ દિવ્યાંગ યુવાનની પીસીસીઆઈ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં કોમેન્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે અને આગામી 2 થી 6 જાન્યુઆરીના શ્રીલંકામાં યોજાનાર દિવ્યાંગ વન-ડે ક્રિકેટ મેચમાં તેનું અવાજ ગુંજશે. ધ પારા ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાએ પસંદગી લેટર આપતા ગામના બાવળિયાથી અંતરરાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગ યુવાન પહોચ્યો છે. ગત મહીને ગુજરાતના બેસ્ટ કોમેન્ટેટર તરીકે સન્માનમાત્ર ક્રિકેટ મેચ નહિ પરંતુ ગામમાં યોજાતી અન્ય રમતોમાં પણ આ દિવ્યાંગ યુવાન પોતાની સેવા આપે છે. આ ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પણ પોતાની આગવી છટાથી સ્ટેજ સંચાલન કરે છે. જેનું ગત મહીને જ ગુજરાતના બેસ્ટ કોમેન્ટરોમાં સન્માન થયું હતું. જેની હવે ભારત દેશમાંથી શ્રીલંકા વન-ડે મેચ માટે એકમાત્ર કોમેન્ટર તરીકે પસંદગી થઇ છે.
કચ્છની પશ્ચિમ સરહદ સાચવતા કાળા ડુંગર પર પવિત્ર દત્તાત્રેય તીર્થધામ પર દત્ત જયંતી રજત ઉત્સવ ઉજવાયો અને ઇતિહાસ પણ રચાઈ ગયો, કારણ કે ૧૧૧૧ બહેનોએ પ્રથમ વખત આ સ્થાને મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે યોજાયેલા દત્ત ઉત્સવમાં ધાર્મિક શ્રધ્ધા, સામાજિક સંગઠન, સમરસતા તથા દેશ ભકિત અને રાષ્ટ્રીય એકતાના ભાવથી આયોજન કરાયું હતું. કાર્યક્રમોમાં સવારે હવન-યજ્ઞ, મહા પ્રસાદ બાદમાં ધર્મસભાનું આયોજન કરાયું હતું. મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન.સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેશીયાએ સરહદી સુરક્ષા, સામાજિક સમરસતા અને ધર્મ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલ લાલજી મહારાજએ નારી સશક્તિકરણ અને સરહદ સહિતના વિષય પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. શ્રી દત્ત જન્મોત્સવ અને મહાઆરતી બાદ ઇતિહાસમાં પહેલી વખત ૧૧૧૧ બહેનો દ્વારા મહારાસનું વિશિષ્ટ આયોજન કરાયું હતું. અગ્રણીઓમાં ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, પી.એમ. જાડેજા અને જિ.પં પ્રમુખ જનકસિંહ જાડેજા. સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા, સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંયોજક જીવણભાઈ આહીર, કચ્છ વિભાગના સંઘચાલક હિંમતસિંહ વસણ, જેન્તીભાઇ નાથાણી, નારણભાઇ વેલાણી, હીરાલાલભાઈ રાજદે સહીત જોડાયા હતા. દત્ત વિકાસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ તન્ના, મંત્રી પંકજભાઈ રાજદે, સંયોજક પ્રવીણભાઈ પુજારા, સહસંયોજક દિનેશભાઇ ગજજર, સીમા જાગરણ મંચ પશ્ચિમ કચ્છના સંયોજક રાજેશભાઈ જોષી સહીત દરેક કાર્યકર્તાઓએ રજત જયંતીના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. { ઉત્સવમાં સંગઠન, સમરસતા તથા દેશ ભકિત જોવા મળ્યા
ધરતીકંપ બાદ અસ્તિત્વમાં આવેલી ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ કચેરીએ સમગ્ર શહેરમાં બાંધકામ માટેની મંજૂરીનું માળખું સંભાળ્યું છે. જૂનું બાંધકામ તોડીને નવું બનાવવા તેમજ પ્લોટ પર નવું બાંધકામ કરવા માટેની મંજૂરી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ સુધીની જવાબદારી છે તે કચેરીએ ત્રણ રિલેશન સાઇટ પર વ્યાપારી હેતુથી ખાનગી એજન્સી સાથે પાર્ટનરશીપમાં દુકાનો બનાવી છે. કરાર આધારિત ભાડે આપીને આવક માટેના ઉદ્દેશ સાથે બનાવેલી અનેક દુકાનદારોએ નીચા ભાવે લઈને ઉંચા ભાવે વેંચી પણ મારી છે. તો અનેક દુકાનોના ભાડૂતોએ આગળ અને પાછળ પાકા બાંધકામ કરીને દબાણ કર્યું છે. ભાડાની કચેરી ગત વર્ષે જ એરપોર્ટ રિંગ રોડ પર તેમણે બનાવેલા વ્યવસાયિક સંકુલમાં ખસેડવામાં આવી છે. તે લાઈનમાં અંદાજે 50થી વધુ દુકાનો જે જાહેર હરરાજી કરીને 30 વર્ષના લીઝ કરાર કરીને વેચવામાં આવી છે. તેમાં અનેક રેસ્ટોરન્ટ માલિકોએ બે થી ચાર દુકાનોની દિવાલો કાઢી એક કરીને રેસ્ટોરન્ટ કરી છે. ભાડાએ જે કોમ્પ્લેક્સ બનાવ્યું હતું તેમાં ધરતીકંપના ઝોન_5 ને ધ્યાનમાં રાખીને આગળ અને પાછળ 15 થી 20 ફૂટ ખુલ્લી જગ્યા છોડવામાં આવી હતી. આ સંકુલમાં મોટાભાગની દુકાનોએ પાછળના ભાગમાં ખુલ્લા વિસ્તાર પર અનધિકૃત બાંધકામ કર્યું છે. એટલું જ નહીં રેસ્ટોરન્ટમાંથી નીકળતું ગંદુ પાણી પાછળની કોલોનીની ડ્રેનેજ લાઈનમાં જોઈન્ટ કરી દેવાથી મોટે ભાગે અહીં ગટર ઉભરાય છે. ખાણીપીણીનો વ્યવસાય હોવાથી પાણીની ખપત પણ ખૂબ રહે છે અને નિકાસ પણ વધુ થાય છે. આ સમસ્યાનો ઉકેલ ભુજ નગરપાલિકા લાવે તેવું સંકુલના હોટલ માલિકો અને રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે. આ સંકુલની પાછળની ત્રણ કોલોનીના એક હજારથી વધુ રહેવાસીઓ આવી બધી સમસ્યાઓથી ત્રસ્ત થયા છે. વારંવારની રજૂઆતો પછી પણ ઉકેલ નથી આવ્યો તેવું સ્પષ્ટ કહે છે. જોકે આ અંગે ભાડાના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું કે, દબાણ દૂર કરવાની યાદીમાં આ પણ સમાવિષ્ટ છે એટલે ક્યારે પણ તોડી પાડવામાં આવશે. આરટીઓ સર્કલ પર ભાડાની દુકાનો તો ત્રણ ચાર વાર વેંચાઈ ગઈ !ભુજ શહેરનો વિકાસ કરવા માટે તેમજ પાંચ નાકાની અંદર વસતા લોકોને બહારના વિસ્તારમાં વેપાર કરી આર્થિક સહયોગ આપવાના ઉદ્દેશથી ત્રણેય લોકેશન પર ભાડાએ ખાનગી એજન્સી સાથે પાર્ટનરશીપમાં દુકાનો બનાવી બહુ જ ઓછા દરે ભૂકંપ પીડિત વેપારીને આપવામાં આવી. પરંતુ ત્યારબાદ સારો નફો દેખાતા મોટા ભાગની દુકાનો ત્રણથી ચાર વાર વેંચાઈ ગઈ છે. શહેરના મોટાભાગના દબાણના જથ્થાબંધ વેપારીઓએ અહીં દુકાનો મેળવી હતી. જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ દુકાનોના ભાડૂતોના કરાર અને હાલના દુકાન ભાડૂતોના કરારમાં વિસંગતતા જોવા મળે.
વનવિભાગની કાર્યવાહી:વાંસકુઈમાં 1.50 ઘન મીટર ખેરના લાકડાંની વિભાગે 2 લાખના લાકડાં સાથે વાહનો કબજે
વ્યારા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ખેરના લાકડાં ભરાઈ રહ્યા હોવાની બાતમી વન વિભાગને મળતા જ વ્યારા વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મળેલી માહિતીના આધારે વન વિભાગના અધિકારીઓ તથા સ્ટાફની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સ્થળ પર છાનબીન કરતા અંદાજિત બે લાખ રૂપિયામાં મૂલ્યવાન એવા 1.50 ઘન મીટર ખેરના લાકડાનો 2 લાખનો જથ્થો મળી આવ્યો હતો. સાથે સ્થળ પરથી એક ટેમ્પો, એક ક્વોલિશ ગાડી, એક મોટરસાયકલ કબજે લેવાઈ હતી. વ્યારા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાં શંકાસ્પદ ગેરકાયદે ખેરના લાકડાં ભરવાની હકીકત વન વિભાગને મળેલી ચોક્કસ બાતમી બાદ બહાર આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા વનવિભાગને ગુપ્ત સૂત્રો મારફતે જાણ થઈ હતી કે વિસ્તારમાં ખેરના મૂલ્યવાન લાકડાં કાપીને વાહનમાં ભરી પરિવહન કરવાની તૈયારી ચાલી રહી છે. બાતમી મળતા જ વ્યારા વનવિભાગના અધિકારીઓ તથા સ્ટાફની વિશેષ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ટીમે વાંસકુઈ ગામની સીમ વિસ્તારમાં રેડ પાડી હતી. સ્થળ પર પહોચતા જ છાનબીન દરમિયાન 1.50 ઘન મીટર જેટલું ખેરનું લાકડું મળી આવ્યું હતું, જેને અંદાજિત બે લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતા હોવાનું વન અધિકારીઓએ જણાવ્યું હતું. સાથે જ લાકડાં ભરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ વાહનો, એક ટેમ્પો, એક ક્વોલિસ કાર તથા એક મોટરસાયકલપણ સ્થળ પરથી જ કબજે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ લાકડું ગેરરીતિથી કાપીને વેચાણ માટે લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી.વન વિભાગે કબજે કરાયેલા લાકડાં અને વાહનોને સીલ કરતાં વધુ તપાસ શરૂ કરી છે. ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ અને ગેરકાયદેસર કટાઈ પાછળના નેટવર્ક અંગે તપાસ ચાલુ છે. વન વિભાગે આપી માહિતી મુજબ, કુદરતી સંસાધનોના રક્ષણ માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. ગુનામાં સંડવાયેલા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવશે.
રમત ગમતમાં સિદ્ધિ:વ્યારા કન્યા વિદ્યાલય રાજ્ય ખોખો ટુર્નામેન્ટમાં પાંચમી વાર ચેમ્પિયન
અમરેલી મુકામે યોજાયેલી રાજ્ય કક્ષાની શાળાકીય ખોખો ટુર્નામેન્ટ (U-19)માં વ્યારાની કે.કે. કદમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ચેમ્પિયનશિપ ટ્રોફી પર કબજો જમાવ્યો છે. શાળાએ આ પ્રતિષ્ઠિત ખિતાબ સતત પાંચમી વખત જીત્યો છે, આ તમામ ખેલાડીઓ ટૂંક સમયમાં મધ્યપ્રદેશ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ખોખો સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થિનીઓના આ ભવ્ય પ્રદર્શન બદલ ર.ફ. દાબુ કેળવણી મંડળના સંચાલકો, શાળાના આચાર્ય, કોચ સુનીલ બી. મિસ્ત્રી તથા મેનેજર સહિત શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા . રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ | શાળાની અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય ટીમોમાં સ્થાન મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. બરફ ઉર્મિલા પિન્ટુભાઈ, પટેલ કૃષ્ણા કમલેશભાઈ, ગામીત શ્રેયા વિજયભાઈ, બાબુલ સુસ્મિતા, પવાર રોશની રમેશભાઈ, મકવાણા બંસરી સુરેશભાઈ.
વર્ષો સુધી વ્યારા સુગર ફેક્ટરી બંધ રહેતા શેરડી ઉત્પાદકો આર્થિક સંકટમાં મુકાયા હતા. એજન્ટોના માધ્યમથી શેરડીનો ભાવ માત્ર રૂ. 1500 થી 1800 જેટલો મળતો હતો, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. હાલમાં વ્યારા સુગરના અધ્યક્ષ માનસિંહભાઈ પટેલ દ્વારા અપનાવવામાં આવેલી સીધી ખરીદીની નીતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એજન્ટોની મધ્યસ્થી દૂર કરી, ખેડૂતો પાસેથી સીધી શેરડીની ખરીદીથી શોષણ અટક્યું છે. પારદર્શિતાને લીધે વધ્યો વિશ્વાસ ખેડૂત સમાજે જણાવ્યું કે પારદર્શક પ્રક્રિયા, વાજબી કિંમતો અને સિસ્ટમમાં ઉભો થયેલો વિશ્વાસ આ ત્રણેય તત્વોએ ઉત્પાદકોમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. માનસિંહભાઈએ સાચા અર્થમાં ખેડૂત કલ્યાણ ને પ્રાથમિકતા આપી છે, અને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળે તે માટે સુગર ફેક્ટરીની ટીમની કામગીરી પ્રશંસનીય છે. ખેડૂતો સાથે મૈત્રિની નિતીઆ નીતિને કારણે વિસ્તારના કૃષિ વિકાસને નવો વેગ મળ્યો છે. તાપી જિલ્લાના ખેડૂતોએ જાહેર વિનંતી કરી છે કે ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિમાં એજન્ટોને શેરડી ન આપવી, પરંતુ ફક્ત વ્યારા સુગર ફેક્ટરીમાં જ તેનો પુરવઠો કરવો, જેથી પારદર્શિતા અને વાજબી ભાવની પ્રક્રિયા સતત ચાલુ રહે. ખેડૂત સમાજે અંતમાં આશા વ્યક્ત કરી કે માનસિંહભાઈ આગળ પણ આવી જ ખેડૂત-મૈત્રી નીતિઓ દ્વારા કૃષિ વિકાસમાં આગેવાની કરતા રહેશે.
ભાસ્કર વિશેષ:24 કલાક ખુલ્લી રહેતી લાઇબ્રેરીએ વર્ષમાં 12 છાત્રોને અપાવી સરકારી નોકરી
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું માત્ર ત્રણેક હજારથી ઓછી વસ્તી ધરાવતું ઉમરવાવદૂર-ગારપાણી જૂથ ગ્રામપંચાયતનું ગામ આજે શૈક્ષણિક ક્રાંતિનું પ્રેરણાસ્ત્રોત બન્યું છે. કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઘરઆંગણે સુવિધા મળી રહે તે માટે યુવાનો દ્વારા શરૂ કરાયેલી એક નાનકડી લાઇબ્રેરીએ ઇતિહાસ રચ્યો છે. અધિકારીઓએ વિઝિટ કરી પુસ્તકો અર્પણ કર્યાઆ નાનકડી લાઇબ્રેરીમાંથી માત્ર એક જ વર્ષમાં ધો. 6 થી 12 સુધીના 9 વિદ્યાર્થીઓએ શિક્ષકની નોકરી મેળવી છે, જે તાપી જિલ્લામાં એક મોટો કિર્તીમાન છે. આ સિવાય ચાલુ વર્ષે અન્ય 3 વિદ્યાર્થીઓએ બેંક અને માર્ગ-મકાન જેવી સરકારી શાખાઓમાં પણ નોકરી મેળવી છે. આ લાઇબ્રેરી ગ્રામજનોની સુવિધા માટે ચોવીસ કલાક ખુલ્લી રહે છે. આ નાનકડા ગામની લાઇબ્રેરીની સિદ્ધિની નોંધ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી છે. તાપીના પૂર્વ DDO અને નિવૃત્ત કમિશનર IAS ડી.ડી. કાપડિયા, પશ્ચિમ રેલવે અધિકારી, IAS રાજેશ ચૌધરી, TDO વિશાલ પટેલ, યુવા PSI કિરણ પાડવી અને PSI પિંકલ ચૌધરીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી મોટિવેશનલ માર્ગદર્શન આપ્યું હતું અને સાથે સાથે અભ્યાસ માટે પુસ્તકોના સેટ પણ ભેટ આપ્યા હતા. હાલ લાઇબ્રેરીમાં 250થી વધુ વિવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. અધિકારીઓએ વિઝિટ કરી પુસ્તકો અર્પણ કર્યાલાઇબ્રેરીના સંચાલક ડૉ. રોશન ચૌધરીએ જણાવ્યું હતું કે, અંતરિયાળ ગામમાં લાઇબ્રેરી શરૂ કરવી અને તેને સફળતાપૂર્વક ચલાવવી એ કપરી કામગીરી હતી. તેમણે મિત્ર જતીન ચૌધરી સાથે ચર્ચા કરી મજબૂત ઇરાદાથી કેટલાક યુવામિત્રોને જોડી આ કાર્ય ઉપાડ્યું. અન્ય ગામોના છાત્રો પણ તૈયારી માટે અહીં આવે છેઆસપાસના ગામના વિદ્યાર્થીઓને ખબર પડતાં તેઓ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અહીં આવવા લાગ્યા. સંચાલકોના મતે, અહીં તૈયારી કરનારા 80% વિદ્યાર્થીઓને સફળતા મળી છે. લાઇબ્રેરીમાં 25 વિદ્યાર્થીઓ અલગથી બેસી વાંચી શકે તે માટે ટેબલ-ખુરશીની ઉત્તમ વ્યવસ્થા છે અને ખુલ્લા વાતાવરણમાં ઝાડ નીચે બેસીને પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ડાંગરની ચોરી:વાંસદા પોલીસનું નાઈટ પેટ્રોલિંગ નિષ્ફળ, ડાંગરનો પાક ચોરાતાં ધરતીપુત્રો ચિંતિત
વાંસદા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાના સંકેતો મળી રહ્યા છે. ચાપલધરા વિસ્તારના એક ખેડૂતના ખેતરમાંથી તૈયાર ડાંગર પાકની 20 ગુણ (અંદાજે 70 મણ)ની ચોરી થતાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ખેડૂતોમાં ચર્ચા છે કે, પોલીસ માત્ર ‘નાઈટ પેટ્રોલિંગ'ના નામે કાગળ પર કામગીરી બતાવી રહી છે, જ્યારે હકીકતમાં ચોર તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે. ચાપલધરા દોડિયા ફળિયામાં રહેતા અને ખેતી તેમજ વકીલાત દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશસિંહ ચંદ્રસિંહ ચૌહાણની માલિકીની જમીન (બ્લોક/સર્વે નં.605) પરથી આ ચોરીનો બનાવ બન્યો છે. તેમણે આ વર્ષે પોતાની જમીનમાં ડાંગરનો પાક લીધો હતો. પાક તૈયાર થઈ જતાં તેમણે તેના દાણા છૂટા કરીને આશરે 70 મણ જેટલો પાક રૂ. 35 હજાર 20 ગુણમાં ભરીને 30 નવેમ્બરના રોજ ખેતરમાં ઢાંકીને મૂક્યો હતો. જ્યારે દિનેશસિંહ ચૌહાણ 4 ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકે ખેતરે ગયા ત્યારે ખેતરમાં મૂકેલી ડાંગરની એક પણ ગુણ ત્યાં હાજર નહતી. કોઈક અજાણ્યા તત્ત્વોએ રાત્રિના અંધારામાં આ તૈયાર પાકની ચોરી કરી લીધી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ખેડૂતે વાંસદા પોલીસ મથકે ચોર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. આ ચોરીના બનાવ બાદ સ્થાનિક ખેડૂત આલમમાં વાંસદા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ માત્ર દેખાડા પૂરતી જ કરાતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસ આ ફરિયાદને ગંભીરતાથી લઈને રાત્રિ પેટ્રોલિંગની નિષ્ક્રિયતા સુધારશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યું. હવે પહેરો ભરવાની નોબતહાલમાં શિયાળાની ઋતુ હોય ઠંડીને કારણે ખેડૂતો પણ તેમના ખેતરમાં જવા ખૂબ ઓછો સમય આપી રહ્યાં છે. ત્યારે તસ્કરો પેધા પડતા ખેડૂતોનો ઉભો પાક ચોરી જવાની ઘટના બાદ રાત્રિ પેટ્રોલિંગ પોલીસ કરશે કે પછી ખેડૂતો જ રાત્રિના સમયે પહેરો ભરશે. તેવી પણ ચર્ચા વાંસદા પંથકમાં થઇ રહી છે.
ગંભીર અકસ્માત સર્જાયો:નવસારીમાં બુલેટ ચાલકે સગીરાને અડફેટે લેતા ગંભીર ઇજા
નવસારીના ટેકનિકલ શાળા પાસેથી પસાર થતી 17 વર્ષીય સગીરાને બુલેટ ચાલકે અડફેટે લેતા ઇજા પહોંચી હતી. વાહન ચાલક સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. નવસારીમાં 24 નવેમ્બરના રોજ સાંજે 5.30 વાગ્યાના અરસામાં અજયભાઈ મહેતાની 17 વર્ષીય દીકરી ભક્તિ રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે નવસારી ટેકનિકલ સ્કૂલ પાસે સીટી સેન્ટરની સામે બુલેટ (નં. GJ-21-DD-7611)નો ચાલક વત્સલ પોતાની બુલેટને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવ્યો અને ભક્તિને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભક્તિ રોડ પર પટકાઇ હતી, આ ઘટનાને પગલે તેને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા સગીરાને ડાબા હાથની કોણીના ભાગે તેમજ ડાબા પગના ઘૂંટણની નીચેના ભાગે ફ્રેકચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે અહેકો યાકુબભાઇ માપ્યાભાઇ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અજગરનું રેસ્ક્યૂ:પૂણી ગામે માછલી પકડવાની જાળમાં ફરાયેલા અજગરનું રેસ્ક્યુ
નવસારીના પુણી ગામે માછલી પકડવાની જાળમાં મહાકાય અજગર ફસાઈ જતા તેને વન વિભાગની હાજરીમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીના સદસ્યોએ રેસ્ક્યુ કર્યો હતો. નવસારીના પુણી ગામે આજે એક અનોખી ઘટના સામે આવી છે. ખેડૂતના ખેતરમાં માછલી પકડવા માટે નાંખવામાં આવેલી જાળમાં એક અજગર ફસાયેલો મળ્યો હોવાની માહિતી મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલાની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સ્વયંસેવકો પાર્થ પટેલ, સાગર પટેલ અને સાવન દ્વારા વન વિભાગના અધિકારી નવલ રાઠોડની હાજરીમાં અત્યંત સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર અજગરની વિગતવાર ચકાસણી બાદ તેની ઉપર જરૂરી સર્જરી હાથ ધરવાની શક્યતા છે. અજગર શિડ્યુલ-1માં આવતી અત્યંત સંરક્ષિત પ્રજાતિ છેવાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતાએ જણાવ્યું કે આ સાપ ભારતીય અજગર હોવાની પુષ્ટિ થઈ છે, જે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ પ્રમાણે શિડ્યુલ-1માં આવતી અત્યંત સંરક્ષિત પ્રજાતિ છે. રેસ્ક્યુ દરમિયાન અજગરના શરીર પર મોટી સંખ્યામાં જીવાતો લાગેલા જોવા મળતા તેને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
PIને સન્માનપૂર્વક વિદાય અપાઈ:નવસારી ગ્રામ્ય પીઆઇ ની બદલી થતા પુષ્પ વર્ષા કરી વિદાયમાન અપાયું
નવસારી જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ગ્રામ્ય પોલીસ મથકના PI પ્રવીણ પટેલિયાનો પણ સમાવેશ થાય છે. તેમની બદલી થતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી. યુવા પીઆઇ પ્રવીણ પટેલિયા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ગ્રામ્ય પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સેવાકાળ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદાય સમારોહ દરમિયાન, પોલીસ સ્ટાફે તેમની ચેમ્બરથી લઈને ગ્રામ્ય પોલીસ મથકના મુખ્ય ગેટ સુધી પુષ્પવર્ષા કરી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ પોતાના અધિકારીને સન્માનપૂર્વક વિદાય આપી હતી.
ખુદીરામ બોઝની જન્મ જયંતી ઉજવાઈ:વઘઇમાં સ્વાતંત્ર સેનાની ખુદીરામ બોઝની 136મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ
ભારત માતાને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવા માટે માત્ર 18 વર્ષની ઉંમરે પોતાના જીવનનું બલિદાન આપનારા સૌથી નાના સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોઝની 136મી જન્મજયંતીનું આયોજન ડાંગના વઘઈ તાલુકામાં આવેલ યોગી અરુણાનંદ મુનિ આનંદ આશ્રમ ખુદીરામ ફાઉન્ડેશન ઉખાટિયામાં કરાયું હતું. આ કાર્યક્રમ આનંદ આશ્રમના યોગગુરુ ડો. યોગી અરુણાનંદ મુનિના માર્ગદર્શન હેઠળ આનંદ આશ્રમ ડાંગ અને ખુદીરામ ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક અને માધ્યમિક આશ્રમ શાળા શિવારીમાળમાં 260થી વધુ વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આચાર્ય પિયુષ ભાઈ સહિત સમગ્ર શિક્ષણ સ્ટાફ હાજર રહ્યો હતો. બાળકોને ખુદીરામ બોઝની પ્રેરણાદાયી જીવનકથાનો પરિચય કરાવ્યો અને ભગવદ ગીતાના શ્લોકો વાંચવા પ્રોત્સાહિત કરાયા હતા.
રિક્ષા એસોસિએશનની રજૂઆત:નવસારી-વિજલપોર રિક્ષા એસો.ની મનપા કમિશનરને રિક્ષા સ્ટેન્ડ ફાળવવા અનુરોધ
નવસારી-વિજલપોર ઓટો રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોએ નવસારી મનપાના કમિશનરને આપેલ અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી નવસારીમાં રિક્ષાઓ માટે નવા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી. નવસારીને મનપા જાહેર કરાયા બાદ શહેરમાં ફરતી રિક્ષાઓ માટે જૂના રીક્ષા સ્ટેન્ડ મંજૂર કરવા તેમજ અમુક નવા સ્ટેન્ડ ફાળવાય તો રિક્ષાઓ રસ્તા પર ઊભી રહેતી ઓછી થાય, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે. એસોસિએશન દ્વારા અગાઉ પણ ટ્રાફિક વિભાગમાં સ્ટેન્ડ માટે અરજી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા બન્યા બાદ આમાં સુધારો કરવાની જરૂરિયાત જણાતાં કમિશનરને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેસીને નવા અને જૂના રિક્ષા સ્ટેન્ડ પાછા ફાળવે. હાલમાં મનપામાં 8 ગામોનો સમાવેશ કરાયો છે. ભાસ્કર ઇન્સાઇડજૂના સ્ટેન્ડ 28 હતાનવસારી ઓટો રિક્ષા સ્ટેન્ડના પ્રમુખ રાકેશભાઇ પટેલના જણાવ્યા મુજબ નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ રસ્તા પહોળા થયા અને વિકાસના કામો થયા બાદ ઘણા રિક્ષા સ્ટેન્ડ ખોવાયા છે. સ્ટેશન પાસે, બસ સ્ટેશન પાસે પણ રિક્ષા સ્ટેન્ડ મૂકવા જગ્યા નથી. જેથી અમે જૂના સ્ટેન્ડ 28 હતા તેમા વધારો કરી 36 રિક્ષા સ્ટેન્ડની માંગ કરી છે.
નવસારી શહેરમાં પૂર્ણા નદી પરનો મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ થતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હાલમાં તમામ ભારે વાહનોનું ભારણ ગ્રીડ ચાર રસ્તા વિસ્તાર તરફ વળ્યું છે, જેના કારણે દિવસ દરમિયાન અહીં સતત ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણોને યુદ્ધના ધોરણે દૂર કરીને રસ્તાઓને પહોળા કરવા જોઈએ. નવસારી ગ્રીડ હાઈવે આસપાસ સર્વિસ રસ્તા પહોળા થવાથી વાહનોનો પ્રવાહ સરળ બનશે અને ગ્રીડ ચાર રસ્તા પરનું ભારણ પણ હળવું થશે. લાંબા ગાળે મનપાએ રસ્તાઓનું રીસરફેસિંગ કરીને તેની ગુણવત્તા સુધારવી અને પૂર્ણા નદીના બ્રિજ પરના ભારણને કાયમી ધોરણે ઓછું કરવા વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પૂર્ણા બ્રિજ 8માસથી બંધ છે ગંભીરા બ્રીજ તૂટ્યા બાદ સરકારે જિલ્લાના બ્રિજની મજબૂતાઈ માપવા માટે નિરીક્ષણ કર્યા બાદ હરકતમાં આવી પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો ઉપયોગ ન કરે તે માટે 8 માસથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેને લઇ આ દબાણ ગ્રીડ પર ન આવે તે માટે મનપા ગ્રીડ પરના દબાણો દૂર કરે તે જરૂરી છે.
ઘરફોડ ચોરીનો બનાવ:પરિવાર સુરતમાં ખમણ વેચવા ગયો નેતસ્કરો 1.46 લાખની મતા ચોરી પલાયન
નવસારીમાં રાત્રિના સમયે ચોરીની ઘટના અટકાવવા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી રહી છે પણ તસ્કરો ધોળા દિવસે બંધ ઘરમાં ધાપ મારી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરતમાં ખમણની લારી ચલાવતા દંપતીના ઘરે દિનદહાડે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. નવસારીના શાંતાદેવી રોડ પર રહેતા ઘનશ્યામ વશરામભાઈ સરડવા (ઉ.વ. 64)એ માહિતી આપતા જણાવ્યું કે તેઓ શિવધારા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રૂમ નંબર-303માં રહે છે. તેઓ પત્ની સાથે સુરતમાં ખમણની લારી ચલાવે છે. સવારે પાંચ વાગ્યે સુરત પત્ની સાથે જાય છે અને સાંજે પાંચ વાગ્યે ઘરે આવે છે. તા. 29 નવેમ્બરના રોજ તેઓ રાબેતા મુજબ સુરત ગયા હતા. ઘરે સાંજે આવતા જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરનો કબાટ પણ તૂટેલી હાલતમાં હતો. કબાટમાં તપાસ કરતાં 4 નંગ (2 જોડી) સોનાની બુટ્ટી આશરે વજન 20થી 25 ગ્રામ રૂ.1.35 લાખ, બે ચાંદીની કડલીઓ વજન 10 ગ્રામ રૂ. 1500 અને રોકડા રૂ. 10 હજાર મળી રૂ. 1,46,500 મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ધંધાકીય કામમાં રોકાયેલા હોવાથી જે તે દિવસે ફરિયાદ આપી નહતી. જો કે તે દિવસે કામ હોય ચોરીમાં કઈ કઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય તેની ખરાઇ કરી પોલીસમાં તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ ટાઉન પોલીસમાં પણ તપાસ એલસીબીને નવસારીમાં શિયાળાની ઋતુની શરૂઆતમાં જ તસ્કરો સક્રિય થયા છે અને શાંતાદેવી રોડ ભરચક વિસ્તારમાં દિનદહાડે ત્રીજા માળેથી ચોરીની ઘટના બની હતી. જેને લઇ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ હાલ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. હજુ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કવોર્ડની તપાસ બાકી છે.
નવસારી મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું:મલ્ટીપરપઝ નવો ઓડિટોરિયમ ખાનગી પાર્ટીને ચલાવવા અપાશે
નવસારીમાં 55 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ મલ્ટી પર્પઝ ઓડિટોરિયમ મનપા હવે ખાનગી પાર્ટીને ચલાવવા આપશે. અગાઉ પાલિકા હતી ત્યારે નવસારીમાં તીઘરા વિસ્તાર નજીક અંદાજે 55 કરોડથી વધુના ખર્ચે ઓડિટોરિયમ બનાવવાનો નિર્ણય લીધો હતો,જેનું કામ પૂર્ણ થતા હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મલ્ટી પર્પઝ ઓડિટોરિયમમાં ટાઉન હોલ ઉપરાંત બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ, એમ્પી થિયેટર પણ છે. હવે મળતી માહિતી મુજબ મનપાએ આ ઓડિટોરિયમ ખાનગી પાર્ટીને ચલાવવા આપવાનો નિર્ણય કર્યો છે અને તે માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે.એવું પણ જાણવા મળ્યું છે કે મનપા મહત્તમ ભાડું કેટલું લઈ શકે તે પણ જણાવશે.
નવસારીના લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ અને મુલાકાતીઓની સુવિધા માટે બનાવેલું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનો અને લારીઓનું ‘ગોડાઉન' બની ગયું છે, જેના કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરવા આવતા સેંકડો ખેલાડીઓ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. મનપાના દબાણ ખાતા દ્વારા ટ્રાફિક અને ફૂટપાથ પરથી જપ્ત કરવામાં આવેલા વાહનોને પાર્કિંગની જગ્યામાં મૂકવામાં આવે છે. તેના પરિણામે ખેલાડીઓ અને તેમના વાલીઓને પોતાના વાહનો પાર્ક કરવા માટે જગ્યા મળતી નથી. તેમને અનિવાર્યપણે પોતાના સ્કૂટર, બાઇક અને કાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર મુખ્ય માર્ગ પર અથવા આસપાસની ગલીઓમાં મૂકવા પડે છે. બહારના રસ્તાઓ પર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક જામની સમસ્યા વધે છે અને વાહનો ચોરાઈ જવાનો અથવા નુકસાન થવાનો ભય પણ રહે છે. આ પાર્કિંગ સુવિધા રમતવીરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી પરંતુ તેના મૂળ હેતુનો ભંગ થઈ રહ્યો છે. ખેલાડીઓ અને સ્થાનિકોની માગણી છે કે મનપા દ્વારા જપ્ત કરાયેલા વાહનોને તાત્કાલિક અન્ય વૈકલ્પિક સ્થળે ખસેડવામાં આવે, જેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ખેલાડીઓ માટે પુનઃસ્થાપિત કરી શકાય. આનાથી રમતગમતની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.
રોડમાં મટિરિયલ હલકી કક્ષાનું વાપરવાનો આક્ષેપ મૂકાયો:છરવાડામાં રસ્તાના કામમાં ગેરરીતિની રાવ
વલસાડના છરવાડા ગામમાં રસ્તાનનુ કામ અધૂરું અને વેઠ ઉતારવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવા દાદ માગી છે. વલસાડના છરવાડા ગામના ભરાડિયા ફળિયા મેઇ્ન રોડથી શૈલેષભાઇ પટેલના ઘર સુધી રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ રસ્તાના કામમાં પંચાયત અ્ને કોન્ટ્રાક્ટરના મેળાપીપણાંમાં વેઠ ઉતારવા અ્ને અધુરું કામ હોવાની રાવ કરવામાં આવી છે. હલ્કી કક્ષાની ગુણવત્તાથી રસ્તો ખરાબ થઇ જવા અને અધુરું કામ હોવાની રાવ સરપંચને કરતાં પૈસા પૂરાં થઇ ગયા છે આવશે એટલે બનાવીશું તેમ કહી કોન્ટ્રાકટરને પૂછી લેજો એમ કહ્યું હતુ. કોન્ટ્રાકટરને પૂછતાં ગામ શેરીના રસ્તા આ પ્રકારના બને છે તેવું જણાવ્યું હતું. જેથી અરજદારે યોગ્ય જવાબ ન મળવાની રાવ કરી અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા દાદ માગી છે. આ અંગે સરપંચને રજૂઆત કરવા છતાં પ્રતિસાદ મળતો ન હોવાની રાવ કરી છે.
વલસાડ જિલ્લામાં સ્પેશ્યિલ ઇન્ટેન્સિવ રીવિઝનની મુદ્દત સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા 11 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવતાં 1200 બીએલઓ સાથે છેલ્લા 1 માસથી પાલિકાના કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ કામે જોતરાયાં બાદ 2002ની યાદીમાં નામો નહિ મળવાની ફરિયાદો સહિતના પ્રશ્ને સરની કાર્યવાહીમાં હજીય નોનમેપિંગ ધારણાં મુજબ નહિ થતાં ચૂંટણી તંત્ર અને બીએલઓની ચિંતા વધી ગઇ છે. તમામ મતદારોનું ડિજિટલાઇઝેશન કરવા જિલ્લા ચૂંટણીતંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. પરંતું મોબાઇલ ઉપર પોર્ટલમાં થતાં મેપિંગની કવાયતમાં સરવર ડાઉનની પણ માથાકૂટે સમય વધુ લેતાં બીએલઓને પરસેવો છુટી રહ્યો છે. સરવર ડાઉનની સમસ્યાને લઇ સર્ફિંગમાં લાંબો સમય નિકળી જાય છે. જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ સરની આ કામગીરી માટે સરકારી કર્મચારીઓનો કાફલો કામે લાગ્યો છે. ગણતરી ફોર્મ સબમીટ કરવાની મુદ્દત લંબાઇ છે. ખાસ તો અનેક મતદારોના નામો 2002ની મતદાર યાદીમાં નહિ મળતાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી કેટલાક વિસ્તારો ગાયબ જણાતાં વધુ પ્રશ્ન સર્જાવા સહિતના કારણોને લઇ મુદ્દત 11 ડિસેમ્બર 2025 સુધી લંબાવી 100 ટકા ગણતરી ફોર્મ ભરવાની કવાયત જારી રાખવામાં આવી છે.પરંતું હજી મતદારોના ફોર્મનું નોન મેપિંગ બતાવતાં બીએલઓની કામગીરી જટિલ બની રહી હોવાનું બીએલઓ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બીએલઓ કહે છે કે, હજીય પ્રશ્નો સપાટી પર આવી રહ્યા છે ભાગડાવડામાં એક મહિલાનું નામ 2002માં શોધવા ચૂંટણી આયોગની વેબસાઇટ પર સર્ચ કરતાં સરખા નામ ધરાવતા 2 નામો નિકળ્યા હતા.જેમાં એક નામ ધરાસણા ગામનું અને એક નામ જિલ્લા બહારનું નિકળ્યું હતું. પણ ભાગડાવડાના મહિલાનું નામ નહિ નિકળ્યું હતું.છતાં મહિલાએ ફોર્મ રજૂ કર્યું છે. તેમાં અન્ય વિગતો કેવી રીતે ભરવી તે સવાલ ઉભો થયો છે. BLO સાથે પાલિકાના વધુ કર્મચારીઓ ફાળવાયા વલસાડ જિલ્લામાં પાલિકાઓમાં જૂના જે બીએલઓ ફાળવાયા હતા તેમની સાથે આંગણવાડી કાર્યકરોને જોતર્યા બાદ ઝડપી કામગીરી માટે પાલિકાઓની અન્ય શાખાના કર્મચારીઓને પણ સામેલ કરવાની ફરજ પડી રહી છે.દિવસો ઓછાં રહી ગયા છે અને તેમાં નોન મેપિંગ ગણતરી ફોર્મ્સના કારણે 11 ડિસેમ્બર 2025 સુધીમાં 100 ટકા મેપિંગ કરવા મથામણ વધી છે. ફોર્મ ભરી દીધાં પણ ડિજિટલા- ઇઝેશનની સંખ્યા ઓછી બતાવેવલસાડ જિલ્લામાં બીએલઓ દ્વારા ડોર ટુ ડોર,કાર્યકરો,વોર્ડ સભ્યો સાથે બેસી ડિજિટલાઇઝેશન માટે ગણતરી ફોર્મ ભરવામાં આવ્યા છે. ફોર્મ બીએલઓને આપવામાં આવેલા પોર્ટલ લિંન્કમાં ભરવાની હોય છે.બીએલઓ દ્વારા તેમને સોંપવામાં આવેલા ફોર્મ્સ મુજબ ભરવા છતાં કુલ ફોર્મનું મેપિંગ ઓછું બતાવતાં ચિંતા ઉભી થઇ રહી છે.
દારૂ ઝડપાયો:મોહનગામથી ટેમ્પામાં લઈ જવાતો 15.60 લાખનો દારૂ ઝડપાયો
મોહનગામ ચેકપોસ્ટ પર 4થી ડિસેમ્બરે ભીલાડ પોલીસે બાતમીના આધારે દમણથી પ્લાસ્ટિકનાં દાણામાં દારૂ ભરી આવતા ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. 15.60 લાખના દારૂ સાથે કુલ્લે 3242186નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બામણ પૂજાથી મોહનગામ હાઈવે પર શિખંડી ચેકપોસ્ટ પર ભીલાડ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો આવતા તેની તલાસી લીધી હતી. ટેમ્પામાં પ્લાસ્ટિકનાં દાણાની 409 બેગ જેની કિંમત રૂ.681686માં દારૂનાં બોક્ષ નંગ 100માં 1200 બોટલ કિંમત રૂ.1560000નો દારૂ મળી આવ્યો હતો. ટેમ્પા ચાલક જેકી રમેશ ટંડેલ (રે, કુંતા કુંતેશ્વર મંદિર, વાપી)ની અટક કરી એક મોબાઈલ કિંમત રૂ.500 મળી કુલ્લે રૂ.3242186નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. દારૂ ભરાવનાર યશ માહ્યાવંશીને ભીલાડ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
આગ લાગી:ના દાદરા દેમણી રોડ પર કંપનીમાં આગથી અફરા તફરી
દાદરા દેમણી રોડ પર આવેલ અક્ષત ફાયબર કંપનીમા સવારે કોઈક કારણસર આગ લાગી હતી આ આગને જોતા કંપનીમા કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બાદમા કંપની સંચાલકે ફાયર વિભાગને ફોન કરતા સેલવાસ અને ખાનવેલની ફાયરની ટીમ પોહચી એક કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાની જાણ થતા દાદરા પોલીસની ટીમ પણ પોહચી ગઈ હતી. તપાસમા જાણવા મળ્યુ કે કંપનીમા ધાગાના વેસ્ટેજમા આગ પકડી લીધી હતી આ ઘટનામા કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.
વાંસદા તાલુકાની માધ્યમિક ગ્રામશાળા પ્રતાપનગરના સંચાલકોની ગંભીર બેદરકારી બહાર આવી છે. મળતી માહિતી મુજબ શાળાની એક વિદ્યાર્થિની ધોરણ-10માં નાપાસ થયા છતાં નિયમોના ઉલ્લંઘન સાથે તેને ધોરણ-11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થિની ધોરણ-11માં પાસ થતાં તેને ધોરણ-12માં પણ એડમિશન મળ્યું હતું. વિદ્યાર્થિની ધોરણ-12ની પ્રથમ આંતરિક પરીક્ષા પણ સફળતાપૂર્વક આપી ચૂકી હતી પરંતુ ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું ફોર્મ ભરવાનું શરૂ થતા જ શાળા સંચાલકોને પોતાની ગંભીર ખામીની જાણ થઈ. પરિણામે વિદ્યાર્થીનીને સ્કૂલે આવવા મનાઈ કરીને તેની હાજરી બંધ કરી દેવામાં આવી હતી. આ અચાનક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થિની અને પરિવાર પર માનસિક આંચકો સર્જાયો છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી ન્યાય માંગ્યો છે. શાળાની આ બેદરકારી શૈક્ષણિક બેદરકારી તરીકે ચર્ચાનો વિષય બની છે. હવે શિક્ષણ વિભાગ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. વિદ્યાર્થિનીની કલેકટરને ફરિયાદ શાળા સંચાલકોને લાપરવાહીની જાણ થતા જ વિવાદિત પ્રકરણને દબાવી દેવા માટે વિદ્યાર્થિની પર ધોરણ-11 અને 12ની માર્કશીટ લઈ લેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. પોતાના કારકિર્દીના બે વર્ષ બગાડ્યા હોવાનું જણાવી ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓએ શાળાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની લેખિત માંગ કલેકટરને કરી છે. હાઇસ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ વિદ્યાર્થીનીને ધોરણ-10માં નાપાસ હોવા છતાં નિયમ વિરુદ્ધ ધોરણ-11માં પ્રવેશ આપવો અને ધોરણ-12 સુધી અભ્યાસ કરાવ્યા પછી બોર્ડ ફોર્મ સમયે બહાર કરી દેવા જેવી ગંભીર બેદરકારી સામે શાળા સંચાલકો પર તાત્કાલિક તથા કડક કાર્યવાહી કરવી જરૂરી છે. શિક્ષણના નિયમો અને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થયેલી આવી લાપરવાહી સામે સંબંધિત અધિકારીઓએ કાનૂની તથા વિભાગીય પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે? નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ત્યારબાદ સ્કૂલની બહાર વિદ્યાર્થીનો અન્ય વિદ્યાર્થી પર હૂમલા જેવી ઘટનાઓ બની ચુકી છે. જેને લઇ સમગ્ર શિક્ષણ જગત સ્તબ્ધ બન્યું છે. ત્યાં હવે વધુ એક પ્રકરણ બહાર આવ્યું છે. જેમાં એક શાળામાં એસએસસીમાં નાપાસ થવા છતાં. છાત્રાને આગળના વર્ગમાં મોકલી દેવાની પ્રવૃત્તિ આચરી દેવાઇ છે. આવી ગંભીર બેદરકારી અને વર્ષ બગડવાની ચેષ્ટા સામે નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલા ભરશે તે જોવું રહ્યું.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:ભાટ પ્રા. શાળાના બાળ વૈજ્ઞાનિકોની ‘ગો ગ્રીન એનર્જી’ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ
આંતલિયા અસ્પી કન્યા વિદ્યાલયમાં યોજાયેલ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26માં ભાટ પ્રાથમિક વિદ્યામંદિર દ્વારા રજુ કરાયેલ વિભાગ-3 માં ગો ગ્રીન એનર્જી કૃતિ બેસ્ટ કૃતિ તરીકે પસંદગી પામતા દક્ષિણ ઝોન કક્ષાના પ્રદર્શનમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે. ગો ગ્રીન એનર્જી કૃતિ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પવન અને સૌર ઊર્જા ગતિ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત કરે છે. ભાટ પ્રાથમિક શાળાએ આ અગાઉ બેવાર રાષ્ટ્રીય કક્ષાએ ત્રણવાર રાજ્ય કક્ષાએ પ્રદર્શનમાં ભાગ લે શાળાની આગવી ઓળખ ઊભી કરી વૈજ્ઞાનિક પ્રદર્શનમાં હંમેશા અગ્રેસર રહી છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજેશભાઈ ઝાલોરીયા, બીઆરસી કો.ઓર્ડિનેટર સોનલબેન કનેરિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજુબેન્દ્રભાઈ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ટંડેલ, ભાટ પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈ પટેલ, સરપંચ ઉપસરપંચ માછી સમાજ એસએમસી પરિવાર સમસ્ત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ કૃતિ માટે માર્ગદર્શક શિક્ષક પિયુષકુમારસિંહ ટંડેલ, હેતવીબેન ટંડેલ સહિત સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો.
માગશરી પૂનમ ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતીદિન જેમને દૈવી ત્રિમૂર્તિ -બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત એટલે અર્પણ કરેલું આપેલું’ આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો. આજના દત્તાત્રેય જયંતીના પવિત્ર ઉત્સવમાં શ્રી તીર્થ નારેશ્વર ધામથી આગામી જુલાઈમાં મોટા પડદે પ્રસ્તુત થનાર ચિત્રપટ -યોગીરાજ રંગ અવધૂત-ફિલ્મ નહીં, આધ્યાત્મિક યાત્રાના સત્તાવાર પોસ્ટરનું બસોથી વધુ જગ્યાએ વિમોચન કરાયું. ખેરગામ સરસીયા ફળિયા ખાતે બ્રહ્મલીન સ્વામી કૃષ્નાનંદજી દ્વારા સ્થાપિત દત્ત મંદિરમાં ખેરગામના રંગ અવધૂત અનુયાયી ભૂદેવ ઋષિ ભટ્ટ દ્વારા સમૂહ પાદુકા પૂજન કરાયું. જેના સમાપન બાદ મંદિરના પ્રાંગણમાં અનેક રંગ ભક્તો અને છાત્રાઓની ઉપસ્થિતિમાં -યોગીરાજ રંગ અવધૂત- ફિલ્મના પોસ્ટરનું સૌપ્રથમ દત્ત બાવનીના સમૂહ ગાન થયા બાદ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભની ધૂન જય ગુરુદેવના નાદ સાથે માજી આચાર્ય ભરત નાયક, આદિત્ય, વિમલ, કિશોરભાઈ, અરુણ દેસાઈ, વિનોદ મિસ્ત્રી જય આચાર્ય વિ. દ્વારા વિમોચન કરવામાં આવ્યું જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું. વિનોદ મિસ્ત્રી-ઋષિ ભટ્ટે માહિતી આપી હતી. બાદમાં તેનું ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. પૂ.બાપજીના જુલાઈમાં મોટા પડદે પ્રદર્શિત થનારા પરમ દિવ્ય જીવન કવન આધારિત ચિત્રપટના પોસ્ટર નિદર્શનમાં શિક્ષકો સાથે ખેરગામ રામજી મંદિરના ઘણા રંગ ભક્તો પણ જોડાયા હતા. ધૂન ગાન બાદ સર્વેએ મહાપ્રસાદ લીધો હતો. સંચાલક કાળીદાસ પટેલે આભાર માન્યો હતો.
વિતરણ:ઉમરસાડીની JVBS હાઈસ્કૂલમાં સાયકલનું વિતરણ કરાયું
જે . વી. બી.એસ. હાઈ સ્કૂલ, ઉમરસાડી માં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9 ની બાળાઓને દિનેશકુમાર એમ ટંડેલ (માજી આચાર્ય જે. એન. સી. હાઈ સ્કુલ, મરોલી.) ના હસ્તે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ lની સહભાગીદારી થી તમામ કાર્યક્રમનું આયોજન થયું બાળકોમાં આનંદની લાગણી અનુભવાયી. શાળા પરિવાર દ્વારા સરકારને આ યોજના માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પોસ્ટરનું વિમોચન કરાયું:ધરમપુરમાં દત્તાત્રેય જયંતિએ “યોગીરાજ રંગ અવધૂત” ફિલ્મના પોસ્ટરનું વિમોચન
ધરમપુરનાં શ્રી રંગ પરિવારે ભગવાન દત્તાત્રેયના પાવન અવતરણ દિવસ નિમિત્તે શ્રી રંગ અવધૂત મંદિરે દત્ત જયંતિની ભક્તિમય ઉજવણી યોજી હતી. પ્રાતઃકાળે દત્તનામ સંકીર્તન અને ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ’ ધૂનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ શણગાર આરતી, પાદુકાપૂજન અને મહાપ્રસાદ સહિતની વિધિઓમાં ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો. રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ “યોગીરાજ રંગ અવધૂત”નાં ઑફિશિયલ પોસ્ટરનું વિમોચન કરાયું હતુ. શ્રી રંગ પરિવાર, ધરમપુરનાં અગ્રણીઓ નીતિનભાઈ કાપડિયા,ભીખુભાઈ પરમારનાં હસ્તે પોસ્ટરનું અનાવરણ થયું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા. રંગ અવધૂત મહારાજ અને દત્ત પરંપરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સમર્પિત આ ફિલ્મ રંગ અવધૂત મહારાજના ઉપદેશો, વ્યક્તિત્વને નવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. 2026માં આવનારી આ ફિલ્મનાં પોસ્ટર વિમોચન પ્રસંગે હાજર આગેવાનો અને ભક્તોએ ફિલ્મને શુભકામનાઓ પાઠવી હતી.
હિન્દુ સંમેલનનું આયોજન કરાયું:ધરમપુર વાઘવળ ગામે હિન્દુ સંમેલનમાં 150 મંદિર નિર્માણનો સંકલ્પ ચરિતાર્થ
વલસાડ જીલ્લાનાં ધરમપુર તાલુકાનાં અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘવળ ગામે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી (યુ.એસ.એ.) દ્વારા આયોજીત દત્તાત્રેય મંદિરનાં સભાગૃહ પ્રવેશનાં ઉદ્ઘાટન અને વિરાટ હિન્દુ સંત સંમેલનનું તા. ૩જી ડિસેમ્બર 2025નાં બુધવારનાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ અવસરે આદિવાસી લોકગીત અને વાંજીત્રોનાં સથવારે શોભાયાત્રા નિકળી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જીલ્લા સહિત વિવિધ વિસ્તારોમાંથી પધારેલા સંતો અને મહાનુભાવોનાં હસ્તે દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો અને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ કે પરમાત્મા આપણી પરીક્ષા લે છે. પરમાત્મા આપણી ધીરજ જોતા છે. સુખી થવુ હોય તો મંદિરમાં જાઓ, ભગવાનનાં દર્શન કરો, સંતોનાં દર્શન કરો, સંતોને સાંભળો, ભજન કિર્તન કરો ઈષ્ટ દેવ, રામનામ જાપ કરો, જય હનુમાન, જયશ્રી કૃષ્ણા, જય સ્વામિનારાયણનું સ્મરણ કરો, હનુમાન દાદા તમામ દુઃખ રોગ પીળા દૂર કરી દેશે. કળિયુગમાં ભગવાનની ભક્તિ જ તમને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને સુખી રાખશે. ભગવાન દત્તાત્રેય સકારાત્મક ઉર્જાનાં સ્વામી છે. આ દત્તાત્રેય મંદિરનાં સભાપ્રવેશગૃહ 4.50 લાખનાં ખર્ચે દાતાઓનાં સહયોગથી બનાવવામાં આવ્યો છે. આ સભાગૃહ મંડપમાં દરરોજ ભજન, કિર્તન, સમુહ ભક્તિ માટે આહવાન કર્યુ હતું. આ અવસરે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-યુ.એસ.એ.નાં મેનેજીંગ ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજીએ 150 ઉપરાંત મંદિર નિર્માણનાં સંકલ્પને ચરિતાર્થ કર્યાની માહિતી આપી હતી તેમજ આગામી ટુંક સમયમાં 51 આદિવાસી દિકરીઓ માટે સમુહ લગ્નનાં આયોજનની જાહેરાત કરી હતી. આ સમુહ લગ્નમાં ગરીબ આદિવાસીઓ દિકરીઓ પ્રભૂતામાં પગલા માંડશેનું જણાવી સૌ દાતાઓનો સહકાર બદલ આભાર માન્યો હતો. આ વિરાટ હિન્દુ સંમેલનમાં પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી મોટા મંદિર પૈકીનાં એક એવા વડતાલ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનાં ચેરમેન સંત સ્વામીજીએ જયશ્રી રામ, હર હર મહાદેવનાં નારા સાથે સંબોધનની શરૂઆત કરતા જણાવ્યુ કે આવા અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં સરકાર પણ કામ કરવામાં પાછળ પડી જતુ હોય જે કામ કરતા નથી કરી શકતુ એ સેવાકીય કામ સ્વામિનારાયણનાં સંતો કરી રહ્યા છે. પૂજય કપિલ સ્વામીજીને ટાંકીને તેમના દ્વારા થતા સેવાકીય પ્રવૃતિની સરાહના કરતા જણાવ્યુ હતુ કે માત્ર વલસાડ જીલ્લો જ નહી સમગ્ર ગુજરાત, દેશ-વિદેશમાં પણ કપિલ સ્વામીજીએ સેવાકીય પ્રવૃતિની સુવાસ ફેલાવી છે અને જરૂર પડયે વડતાલ મંદિર માટે પણ મોટાપાયે તન મન ધનથી સેવા પૂરી પાડી રહ્યા છે. મંદિર નિર્માણની કામગીરીની સરાહના કરતા જણાવ્યુ હતુ કે જે પોતાના ઈષ્ટદેવના મંદિરોનાં નિર્માણની સાથે સાથે હિન્દુ દેવી દેવતાઓનાં પણ મંદિર બનાવે એ સ્વામિનારાયણ સંપ્રદાય. અમને એ વાતનો ગર્વ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલવાવનાં સ્વામી રામકૃષ્ણદાસજીએ કર્યુ હતું.
ક્લગામ પ્રાથમિક શાળામાં 4 ડિસેમ્બરે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2025,26 ને ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે ખુલ્લું મૂક્યું હતું. બે દિવસ ચાલનારા પ્રદર્શનમાં પાંચ વિભાગોમાં બાળ વૈજ્ઞાનિકોએ 75 કૃતિઓ રજૂ કરી છે. ક્લગામ પ્રાથમિક શાળા માં વર્ષ 2025,26 નું ઉમરગામ તાલુકા બી.આર.સી.કક્ષા નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકયુ છે.અગાઉ આ ફણસા પ્રાથમિક શાળા નો બાળ વૈજ્ઞાનિકે કચરા ના વ્યવસ્થાપન માં નેશનલ લેબલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.જેનું ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર ના હસ્તે પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.નેશનલ લેવલે વિજેતા બનેલા વિદ્યાર્થીએ માર્ગદર્શન બનેલા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલ અને શાળાને ગૌરવ અપાવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં ટકાઉ ખેતી,કચરા નું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકનાં વિકલ્પો,હરિત ઉર્જા અને ગ્રીન એનર્જી,વિકસિત નવીન ટેક્નોલોજી, મનોરંજન સંબંધિત ગાણિતિક મોડેલિંગ, આરોગ્ય અને સ્વછતા, જળ સરક્ષણમાં પાંચ વિભાગોમાં 75 કૃતિઓ રજૂ કરી હતી. દરેક વિભાગમાં 15 કૃતિ રજૂ કરાઈ હતી. ત્રણ વિભાગો ફણસા શાળામાં અને બે વિભાગો વડીયા સ્કૂલ ના મકાનમાં રાખ્યા છે. ઉમરગામના શિક્ષણ વિભાગના અધિકારીઓ, બી.આર.સી સ્ટાફ, શિક્ષકો, સરપંચો, હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂકાયું છે. 5 ડિસબરે સમાપન પ્રસંગે વિજેતા બનેલ કૃતિઓ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મૂકાશે.
ધર્મેન્દ્રનાં અસ્થિ વિસર્જન વખતે સનીએ પાપારાઝીનો કેમેરો ઝૂંટવ્યો
કિતને પૈસે ચાહિયે તેમ કહી ધમકાવ્યો અગાઉ પણ પોતાના ઘર પાસે એકઠા થયેલા કેમેરાપર્સન્સને ખખડાવ્યા હતા મુંબઇ - ધર્મેન્દ્રનાં હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વખતે શૂટિંગ કરી રહેલા પાપારાઝીને સની દેઓલે બહુ આકરા શબ્દોમાં ધમકાવી તેનો કેમેરો ઝૂંટવી લીધો હતો. અસ્થિવિસર્જનની ક્રિયા ચાલતી હતી ત્યારે સની દેઓલ જોયું હતું કે એક પાપારાઝી તે ક્રિયાનો વીડિયો અને તસવીરો લઇ રહ્યો હતો. સનીએ કેમેરામેનને તને કાંઈ શરમ છે કે નહિ, તને કેટલા પૈસા જોઈએ છે તેમ કહી બહુ ધમકાવ્યો હતો.

29 C