SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

દીપડાનો આતંક: ગલૂડિયાનો શિકાર:જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારોમાં દીપડાનું પુનરાગમન; મધુરમ વિસ્તારમાં CCTV ફૂટેજથી ભયનો માહોલ;

સિંહ દીપડાઓ જેવા હિંસક પ્રાણીઓનો હવે ગીરનારનો જંગલ વિસ્તાર છોડીને જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારો તરફ વળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં મધુરમ વિસ્તારના મંગલધામ-3 માં રાત્રિના સમયે દીપડો ઘૂસી આવ્યાના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક દીપડો અચાનક આવી ચડે છે અને આંખના પલકારામાં એક ગલૂડિયાનો શિકાર કરીને તેને મોઢામાં દબાવી નાસી છૂટે છે. ગલૂડિયાને બચાવવા માટે શ્વાને પાછળ દોટ મૂકી હતી, પરંતુ દીપડો શિકાર લઈને પલાયન થઈ ગયો હતો.આ વિસ્તારમાં અગાઉ પણ અનેક વખત સિંહ અને દીપડા દેખાયા છે અને પશુઓના શિકાર પણ થયા છે. હવે આ હિંસક પ્રાણીઓ શિકારની શોધમાં શહેરની અંદર ઊંડે સુધી ઘૂસવા લાગ્યા છે, જે સ્થાનિકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.​ વન વિભાગની ઘોર નિંદ્રા,સ્થાનિકોને ઉજાગરા​ વારંવારની ઘટનાઓ છતાં જૂનાગઢનું વન વિભાગ ગંભીરતા દાખવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. સ્થાનિકોમાં એક જ સવાલ ઉઠ્યો છે કે, શું વન વિભાગ કોઈ મોટી જાનહાની ની રાહ જોઈ રહ્યું છે ?​વિભાગની કામગીરી પર આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે દીપડા અને સિંહ રહેણાંક વિસ્તારમાં આવીને પશુઓના શિકાર કરી રહ્યા છે, પરંતુ જૂનાગઢ વન વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે.જ્યાં સુધી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ ન થાય, ત્યાં સુધી વન વિભાગ જાગતું નથી. ત્યારબાદ માત્ર પાંજરા ગોઠવવાના નાટક થાય છે, પરંતુ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી.​ ગીરનારના જંગલ વિસ્તારમાંથી હિંસક પ્રાણીઓ શિકારની શોધમાં શહેર અને ગ્રામ્ય પંથકોમાં આવવાના કિસ્સાઓ હવે સામાન્ય બની ગયા છે. આનાથી સ્થાનિકોમાં એવી દહેશત છે કે જો ક્યારેક આ હિંસક પ્રાણીઓ માનવભક્ષી બનીને હુમલો કરશે, તો તેની જવાબદારી કોણ લેશે? વન વિભાગ ક્યારે જાગશે અને નાગરિકોની સુરક્ષા માટે કાર્યક્ષમ વ્યૂહરચના બનાવશે, તે સૌથી મોટો સવાલ છે.​ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે દીપડાને પકડવા અને રહેણાંક વિસ્તારોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કડક માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 10:59 pm

ગુજરાતીઓને સાયબર ક્રાઇમ માટે મ્યાનમાર ધકેલતા આરોપીના જામીન ફગાવાયા:ફરિયાદીને ઉંચા પગારની લાલચે મ્યાનમાર મોકલી ગુનો કરવાનું ના પાડે તો કરંટ આપતા, અમદાવાદના ત્રણ લોકો ત્યાં હતા

ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં ગાંધીનગર CID પોલીસ મથકે એક ફરિયાદીએ અમદાવાદમાં રહેતા 2 આરોપી રોહિતગીરી અને તેના ભાઈ મોહિતગીરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બંને આરોપીઓ ઉપર આક્ષેપ છે કે, બંને આરોપીઓ અને તેમના મળતિયા એજન્ટોએ ગુજરાતીઓને વિદેશમાં મોકલીને સારા પગારની નોકરીની લાલચ આપતા. તેઓ માનવ તસ્કરી કરી ફરિયાદી સહિત અન્ય લોકોને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં સાયબર ક્રાઇમ નેટવર્કમાં ધકેલી દેતા હતા. જો તેઓ કામ કરવાની ના પાડે તો તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપીને બંધક બનાવતા હતા. સીટી સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવીઉપરોક્ત આરોપી પૈકી રોહિત ગીરીએ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં તેના વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી વિરુદ્ધ કોઈ પુરાવો નથી. ફરિયાદી પોતાની મરજીથી દક્ષિણ પૂર્વી દેશ મ્યાનમારમાં ગયા હતા. આરોપીના ખાતામાં કોઈ રકમ જમા થઈ નથી, તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ફરિયાદીએ વિદેશની ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યો નથી. જો કે, સીટી સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. કોઈ વ્યક્તિ ગુનો કરવાની ના પાડતા તો કરંટ આપવામાં આવતોઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે, તે પહેલા ગૂગલ પેમાં નોકરી કરતો હતો, પરંતુ નોકરી જતી રહેતા તે બેરોજગાર બન્યો હતો અને તે આરોપીના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ તેને કહ્યું હતું કે, તે ફરિયાદીને વિદેશમાં 90 હજાર રૂપિયાના પગારની નોકરી અપાવશે. આ માટે તેને વ્હોટ્સએપ ઉપર બેંગકોકની ટિકિટ મોકલવામાં આવી હતી. જ્યાંથી તેને મ્યાનમાર મોકલવામાં આવ્યો હતો. ત્યાં જઈને ફરિયાદીને ખબર પડી હતી કે ત્યાં ડેટિંગ એપ જેવા માધ્યમો દ્વારા લોકો સાથે સાયબર ફ્રોડ આચરવાનો હતો. જો કોઈ વ્યક્તિ તેમ કરવાનું ના પાડતી તો તેમને જમવાનું નહોતું અપાતું. તેમને કરંટ આપવામાં આવતો અને એક રૂમમાં પૂરી દેવામાં આવતા હતા. આવા અમદાવાદના ત્રણ લોકો પણ ત્યાં કામ કરતા હતા. જ્યારે ફરિયાદીએ આવું કામ કરવાની ના પાડી અને ભારત પરત ફરવા કહ્યું ત્યારે આરોપીએ તેની પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 10:12 pm

AMCએ કર્યા રૂપિયા 15 લાખના પુરસ્કાર વિતરણ:મેયર પ્રતિભા જૈનના હસ્તે નરેન્દ્ર મોદી ઓડિટોરિયમમાં પુરસ્કાર વિતરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના તમામ 7 ઝોન અને 48 વોર્ડમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ-2025 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો હેતુ અમદાવાદ શહેરને સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોની કેટેગરીમાં મળેલ સૌથી સ્વચ્છ શહેરના એવોર્ડને અનુરૂપ સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોની ભાગીદારી દ્વારા તહેવારો દરમિયાન સ્વચ્છતાનું ઉચ્ચ સ્તર જાળવી રાખવાનો હતો. પર્યાવરણલક્ષી થીમને પ્રોત્સાહન આપવાનો હતોઆ સ્પર્ધા બે શ્રેણીઓ માટે યોજવામાં આવી હતી. શ્રેણી 1 રહેણાંક એકમો (સોસાયટીઓ, ફ્લેટ્સ, વગેરે) માટે અને શ્રેણી 2 સામૂહિક ગરબા આયોજકો (પાર્ટી પ્લોટ, વગેરે) માટે હતી. સ્પર્ધાના મુખ્ય ઉદ્દેશ્યોમાં ગરબાના સ્થળે ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ, સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP)ના ઉપયોગની નાબૂદી, અને ઝીરો વેસ્ટ તથા RRR (Reduce, Reuse, Recycle) જેવી પર્યાવરણલક્ષી થીમને પ્રોત્સાહન આપવાનો હતો. આયોજન સ્થળનું મૂલ્યાંકન સફાઈ, ડસ્ટબીનની વ્યવસ્થા, કચરાનું સેગ્રીગેશન, શૌચાલય સુવિધા અને ઝીરો વેસ્ટ થીમના અમલીકરણ જેવા માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું. 7 વિજેતાઓને કુલ 15.38 લાખ જેટલાં ઇનામોથી પુરસ્કૃત કરવામાં આવ્યાઆ સ્પર્ધાના ઝોન અને શહેર કક્ષાના વિજેતાઓને આજરોજ એટલે કે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસના ઉપલક્ષે નરેન્દ્ર મોદી ઓડિટોરીયમ હોલ, LG હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ 15 લાખથી જેટલાં પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માન. મેયર પ્રતિભા જૈનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કુલ 213 થી વધુ થયેલ રજીસ્ટ્રેશન પૈકી ઝોન લેવલે 39 વિજેતાઓને અને શહેર કક્ષાએ 7 વિજેતાઓને કુલ 15.38 લાખ જેટલાં ઇનામોથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. રહેણાંક એકમોમાં શહેર કક્ષાએ પશ્ચિમ ઝોનનું સરદાર પટેલ નગર પ્રથમ ક્રમે 51,000 આવ્યું, જ્યારે સામૂહિક આયોજકોમાં દક્ષિણ ઝોનનું એકા ક્લબ કાંકરિયા પ્રથમ ક્રમે રૂપિયા 1 લાખ વિજેતા બન્યું. AMC દ્વારા સ્વચ્છતા સંદર્ભે નાગરિકો દ્વારા અપાયેલ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 10:06 pm

સેટેલાઇટમાં સત્યાગ્રહ છાવણીના બંગ્લામાં દરોડા:જુગાર રમતા આઠ લોકો ઝડપાયા, સેટેલાઇટ પોલીસ ઘટનાની વધુ તપાસ કરી

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સત્યાગ્રહ છાવણી સેક્ટર-3 ખાતે આવેલ એક બંગ્લામાં જુગાર રમાતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીના આધારે પોલીસે દરોડો પાડી આઠ લોકોને રંગેહાથ ઝડપ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની પાસેથી કુલ રૂ. 47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસમાં ખુલ્યું કે આ બંગ્લો એક NRI જ્યોતારામ પટેલનો છે, જે છેલ્લા 25 વર્ષથી અમેરિકા રહે છે. બંગ્લાની દેખરેખ રાખતા ઘરઘાટી ભવાનજી ઠાકોર દર શનિવાર–રવિવારે બહારના મિત્રોને બોલાવી બંગ્લામાં જુગાર રમાડતો હતો. દરોડા દરમિયાન પોલીસે ભવાનજી ઠાકોર, ગીરીશચંદ્ર રાવલ, વલ્લભરાવ ચોકરા, પરેશકુમાર શાહ, દેવીલાલ પ્રજાપતિ, કરશન ઠાકોર, સંજય કાટાવાળા અને કેતન અમરૂતિયાને પત્તા સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા. હાલ સેટેલાઇટ પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 10:01 pm

યાત્રી કૃપયા ધ્યાન દે!:ચેન્નાઈ એગ્મોર ખાતે કામને કારણે 4 ડિસેમ્બરની અમદાવાદ–તિરુચિરાપલ્લી સ્પેશિયલ બદલાયેલા રૂટથી ચાલશે

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે દક્ષિણ રેલ્વેના ચેન્નાઈ એગ્મોર (MS) સ્ટેશને રીડેવલપમેન્ટ ના કામના બીજા તબક્કાની કામગીરી ચાલી રહી હોવાને કારણે પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9 પર લાઇન બ્લોક અને પાવર બ્લોક અમલમાં લેવામાં આવ્યા છે. આ રિડેવલપમેન્ટ ના કારણે 4 ડિસેમ્બરની અમદાવાદથી તિરુચિરાપલ્લી જતી સ્પેશિયલ ટ્રેનનો માર્ગ બદલવામાં આવ્યો છે. રેલ્વે દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ટ્રેન નં. 09419 અમદાવાદ–તિરુચિરાપલ્લી સ્પેશિયલ હવે રેનિગુન્ટા–અરક્કોનમ નોર્થ કેબિન–કાટપાડી–વેલ્લોર કેન્ટ–વિલ્લુપુરમ રૂટ પર દોડશે. રુટ ટ્રાન્સફરને કારણે આ ટ્રેન અરક્કોનમ, પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ અને ચેંગલપટ્ટુ સ્ટેશનો પર નહીં જાય. મુસાફરોની સુવિધા માટે બદલાયેલા માર્ગ દરમિયાન ટ્રેનને તિરુત્તણી સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:59 pm

6 IPS અધિકારીઓને પ્રમોશન:મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને ડીજીપી તરીકે જ્યારે ચાર અધિકારીઓે DIG તરીકે બઢતી આપવામાં આવી

ગુજરાત કેડરના 6 IPS ઓફિસરને બઢતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે અધિકારીઓને ડીજીપી તરીકે અને ચાર અધિકારીઓે ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:59 pm

ભૂલકાઓ સાથેનો હૃદયસ્પર્શી કાર્યક્રમ:રોટરી ક્લબ વાયબ્રન્ટે ધ્રુપકા પ્રાથમિક શાળાના 210 બાળકોને ગરમ સ્વેટર વહેંચ્યા

1 ડિસેમ્બર, 2025ના રોજ, રોટરી ક્લબ ઑફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા ધ્રુપકા ગામ (સિહોર બ્લોક, ભાવનગર)ની ધ્રુપકા પ્રાથમિક શાળાના 210 વિદ્યાર્થીઓને ઉષ્માભર્યા સ્વેટરોનું વિતરણ કરીને હૃદયસ્પર્શી સમુદાય સેવા પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. શિયાળાની ઋતુ નજીક આવતી હોવાને કારણે આ પ્રકલ્પનો હેતુ દરેક બાળક ગરમ, આરામદાયક અને સુરક્ષિત રહે તેની ખાતરી કરવો હતો. બાળકોને સ્વેટર આપી ઉષ્માભર્યું વાતાવરણ પૂરું પાડ્યુંઆ વિતરણ કાર્યક્રમ ક્લબ પ્રમુખ નમ્રિતા ચઢ્ઢા, ક્લબ સચિવ સુનિતા શાહ, ક્લબ ડિરેક્ટર અમી શાહ અને કશ્મીરા કોઠારી તેમજ ક્લબ સભ્ય કૃષ્ણા શાહની હાજરીમાં સંપન્ન થયો હતો. ટીમે જાતે જ બાળકોને સ્વેટર આપી તેમને પ્રોત્સાહન અને ઉષ્માભર્યું વાતાવરણ પૂરું પાડ્યું. વિદ્યાર્થીઓને સંબોધતા પ્રમુખ નમ્રિતા ચઢ્ઢાએ તેમને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા, મોટા સપના જોવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે 100% પ્રયત્ન કરવા પ્રેરણા આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શિક્ષણ જીવન પરિવર્તનનું સૌથી મજબૂત આધારસ્તંભ છે અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા એ સર્વોત્તમ માર્ગ છે.શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રોટરી ક્લબનો આ સમયસરના સહયોગ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો, જે આવનારા ઠંડીના દિવસોમાં બાળકોને ખૂબ ઉપયોગી રહેશે. રોટરી ક્લબ ઑફ ભાવનગર વાયબ્રન્ટ “સર્વોપરી સેવા”ના પોતાના ધ્યેય સાથે સમાજના વંચિત વર્ગોને ઊંચું ઉઠાવવાના અને નાનાં શીખનારાઓના ભવિષ્યને મજબૂત બનાવવા માટે અર્થસભર પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:55 pm

7 માળની જર્જરિત સર તખ્તસિંહજી હોસ્પિટલના ડિમોલિશનમાં વિલંબ:વારંવાર પોપડા-તિરાડો છતાં બિલ્ડીંગ ન ઉતારતા, તંત્ર મોટી દુર્ઘટનાની રાહમાં?; કોંગ્રેસની આંદોલનની ચિમકી

ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ સાતમાળની સરકારી બિલ્ડીંગ માત્ર 18 વર્ષમાં ભયજનક બની ગઈ છે. બિલ્ડીંગને છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ એવી બની છે કે આ બિલ્ડિંગમાં વારંવાર પોપડા ખરી રહ્યા છે જેને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિમાં હોવા છતાં પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ જર્જરિત ઘોષિત થયેલી સાત માળની હોસ્પિટલને 4 વર્ષથી ઉતારી લેવાની વાત માત્ર કાગળ પર જ થતી હોય તેમ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. 2022માં આ બિલ્ડિંગને કન્ડમ જાહેર કરવામાં આવ્યુંવર્ષ 2004માં હોસ્પિટલના PIU વિભાગ હસ્તક સ્ટેટ આર.એન.બી દ્વારા 19 કરોડ રૂપિયાના ખર્ચે દર્દીઓને સારવાર માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસ ખાતે 23000 ચોરસ મીટરનું જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર મળી કુલ 9 માળનું સરકારી હોસ્પિટલ બનાવવામાં આવ્યું. જેમાં 350 બેડની વ્યવસ્થા હતી અને અનેક વોર્ડના વિભાગો અને ઓપરેશન થિયેટર હતા, આ હોસ્પિટલના કારણે ગીર ગઢડા, ઉના, અમરેલી, રાજુલા, બોટાદ, ગઢડા સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના દર્દીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે વર્ષ 2022માં આ બિલ્ડિંગને કન્ડમ જાહેર કરવામાં આવ્યું. 19 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ સાત માળની આ હોસ્પિટલને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો હોય તેમ તિરાડો પડવા લાગી હતી. તેમજ વારંવાર જર્જરિત કન્ડમ થયેલી હોસ્પિટલમાંથી પોપડા પડી રહ્યા છે, અહીં આવતા દર્દીઓ અને ત્યાંથી પસાર થતા લોકો ઉપર જીવનું જોખમ ટોળાઇ રહ્યું છે. જર્જરિત સાતમાળની આખી હોસ્પિટલને બંધ કરી દેવામાં આવીશરૂઆતમાં સાત માળની બિલ્ડીંગનો છઠ્ઠો અને સાતમો માળ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમયાંતરે વધારે જર્જરિત બની જતા સાતમાળની આખી હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે. જર્જરિત હોસ્પિટલનો વર્ષ 2021 અને 22માં સરકારી અને ખાનગી એજન્સી દ્વારા સ્ટ્રક્ચરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ આ હોસ્પિટલ અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે અગાઉ પણ રજૂઆતો થયેલી છે, પરંતુ હોસ્પિટલનું પ્રશાસન અને રાજ્ય સરકાર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. 'જર્જરિત બિલ્ડીંગને ઉતારતા નથી, લોકોના મૃત્યુની રાહ જોવાય છે' આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, આ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસે એવું સાબિત થાય છે. આ સાત માળના બિલ્ડીંગને ઘણા સમય પહેલા કન્ડમ કરી દેવામાં આવ્યું છે. ત્યાં કન્ડમ કરી દેવા છતાં એ બિલ્ડીંગને ઉતારતા નથી અને પાડી નથી દેતા એનું ડિમોલિશન નથી કરતા તો શું તમે કોઈ લોકો પાંચ દસ લોકોના મૃત્યુ થાય એની નીચે દબાઈ જાય ત્યાં સુધીની રાહ જોવાની છે. બિલ્ડીંગને ડિમોલિશ નહીં કરાય તો કોંગ્રેસ આંદોલન કરશે સર તખ્તસિંહજી હોસ્પિટલ એટલે આપણું મોટામાં મોટું હોસ્પિટલ છે. ત્રણ જિલ્લાને જોડતું આ હોસ્પિટલ છે ત્યાં અવારનવાર દર્દીઓ અને તેમના સગાવાલા આજુબાજુમાં બેસતા હોય તો આવડું મોટું મહાકાય બિલ્ડીંગ પડી જાય તો એના માટે જવાબદાર કોણ અને કોઈની જાનહાની થાય ત્યાં સુધીની રાહ જોવાની છે. એટલે હું આ તંત્રને કહેવા માગું છું કે વહેલી તકે તમે આ બિલ્ડીંગનું ડિમોલિશન કરો. એક તો તમે કન્ડમ બિલ્ડીંગ બનાવ્યું છે ભાવનગરના મહારાજા સાહેબે જે આપ્યું છે એ બિલ્ડીંગ સો વર્ષથી પણ હજી અડીખમ છે. આગામી દિવસોમાં જો આ બિલ્ડીંગને તાત્કાલિક ડિમોલેશન નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલનકારી કાર્યક્રમ કરવાનો થશે. તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે. બિલ્ડીંગનું વેલ્યુએશન કઢાવી તોડી પાડવાની મંજૂરી માટે મોકલ્યું હતુંઆ અંગે PIU હેલ્થ વિભાગના નાયબ કાર્યપાલક અર્પણ કાત્રોડીયાએ જણાવ્યું કે, સર્ટી હોસ્પિટલ ખાતે આવેલા સાત માળનું બિલ્ડીંગ જેને 2022માં આ બિલ્ડીંગને ખાલી કરવાનું ચાલુ કર્યું હતું અને વર્ષ 2023ના શરૂઆતમાં ખાલી થઈ ગયું હતું. પછી આ બિલ્ડીંગનું વેલ્યુએશન કઢાવવામાં આવ્યું હતું અને બિલ્ડીંગને તોડી પાડવા માટે મંજૂરી માટે મોકલ્યું હતું. એ મંજૂરી વર્ષ 2025ના છઠ્ઠા મહિનામાં આવેલી છે અને પછી તરત આપણે તોડી પાડવા માટેનું ટેન્ડર કરેલું છે અને ટેન્ડર કર્યું પછી અત્યારે 16 પાર્ટીઓએ ભાગ લીધેલો છે. આવનાર પાંચ દિવસમાં ટેન્ડર ખુલશે એટલે એલઓયુ ઇસ્યુ થશે પ્રિ કવોલીફીકેશનના ક્રાઈટ એરિયા રાખેલા હતા, કારણ કે આ બિલ્ડીંગની એક્ઝેટ બાજુમાં પાછળના ભાગે ત્રણથી સાડા ત્રણ મીટરના અંતરે અન્ય બિલ્ડીંગ આવેલું હોય, જ્યારે આ જર્જરિત બિલ્ડિંગની હાઈટ 27 મીટર છે, એટલે બાજુની મિલકતને નુકસાન ન થાય તે પ્રમાણે કામગીરી કરવા માટે અલગ અલગ બધી ક્વોલિફિકેશન માંગી હતી, એજન્સીઓ પાસે એ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને જેને એક્સપિરિયન્સ હોય એમાં બધું વેરિફિકેશનમાં મોકલેલું એટલે લગભગ છેલ્લા એકથી સવા મહિનાથી એ પ્રોસેસ ચાલુ હતી. હવે આવનાર પાંચ દિવસમાં ટેન્ડર ખુલશે એટલે એલઓયુ ઇસ્યુ થશે અને એવી આશા રાખીએ કે 15 ડિસેમ્બર સુધીમાં બિલ્ડીંગ પાડવાનું કામ શરૂ કરાવી શકાય. ખબર વગર કોઇ અવરજવર ન કરે તે માટે દીવાલ ચણી દીઘીસર તખ્તસિંહજી હોસ્પિટલની સાત માળની જર્જરિત હોસ્પિટલમાંથી અનેક વખત નાના-મોટા ગાબડાઓ પડતા હોય છે અને ત્યાંથી દર્દીઓ અને સગા વાલાઓ પસાર થતા હોય છે. તે અંગે પૂછતા જણાવ્યું કે એની માટે અવારનવાર પતરા મારતા રહીએ છીએ, અત્યારે આખા બિલ્ડીંગને લોક કરેલી છે. પાછળની બાજુએ લોકો બિનઅધિકૃત રીતે પ્રવેશ કરતા આવતા જતા એવી જાણ મળી હતી. એટલે બધી સાઈડ દીવાલ ચણી દેવામાં આવી છે. જેથી કરીને ખબર વગર પાછળની બાજુ કોઈ માણસો કે કોઈ એનિમલની આવજાવ ન થાય તેથી સાવચેતી માટે દીવાલ ચણવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:54 pm

રિક્ષા ગેંગના 2 શખ્સો ઝડપાયા:રાજકોટમાં પુત્રના ઘરે રોકાયેલા પ્રૌઢ દંપતિ વતન જવા રિક્ષામાં બેઠા, મુસાફરના સ્વાંગમાં બેસેલા ચોરોએ રૂ.84 હજાર સેરવી લીધા

રાજકોટમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ એક પછી એક વૃધ્ધ લૂંટાઈ રહ્યા છે. વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ દંપતિ રાજકોટ પોતાના દીકરાના ઘરે આવ્યા હતા અને બાદમાં પોતાના વતન જવા માટે રિક્ષામાં બેસી ગ્રીનલેન્ડ ચોકડી જતા હતા ત્યારે પેસેન્જરના સ્વાંગમાં બેસેલા ચોરોએ ધક્કામુક્કી કરી પ્રૌઢની નજર ચૂકવી રૂ.84 હજારની રોકડ સેરવી લીધી હતી. જે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે રિક્ષા ગેંગના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે 2 શખ્સોને પકડવાના હજુ બાકી છે. વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ મનુભાઈ પરમાર (ઉં.વ. 52) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. હરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 8/11 હરેશભાઇ તથા તેમના પત્ની પ્રફુલાબેન બંને નાની દીકરીના આગામી દિવસોમાં લગ્ન હોય તેથી કંકોત્રી આપવા માટે અમદાવાદ ગયા હતા. ત્યાંથી રાજકોટ મોટા દીકરા વિશાલના ઘરે રાત્રીના રોકાયા હતા. તા. 9/11 ના સવારના 9 વાગ્યા આસપાસ પતિ-પત્ની વાંકાનેર જવા માટે નીકળ્યા હતા. આ સમયે હરેશભાઈએ પુત્ર વિશાલ પાસેથી રૂપિયા 84 હજાર લીધા હતા. જે પેન્ટના ખિસ્સામાં થેલીમાં રાખ્યા હતા. જે બાદ પતિ - પત્ની મોરબી જકાતનાકાથી બેડી તરફના રોડ પર જતા હતા ત્યારે એક રીક્ષા અહીં આવી તેમની પાસે ઉભી રહી હતી અને રીક્ષાચાલકે પૂછ્યું હતું કે, તમારે ગ્રીનલેન્ડ ચોકડીએ જવું છે. જેથી ફરિયાદી હા કહી હતી. રીક્ષામાં અગાઉથી ત્રણ અજાણ્યા મુસાફર બેઠા હતા જેમાંથી એક શખસ આગળ બેસી ગયો હતો. જ્યારે પાછળની સીટમાં આ પતિ-પત્ની અને અન્ય બે મુસાફર બેઠા હતા.રીક્ષા થોડે દૂર પહોંચ્યા બાદ બાજુમાં બેઠેલા મુસાફરે પ્રૌઢના પગ પર પગ રાખી ધક્કામૂક્કી કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે, મારે પગમાં સળિયા છે એટલે દુ:ખાવો થાય છે. થોડીવાર બાદ ગ્રીનલેન્ડ ચોકડી તરફ રેતીના ઢગલા પાસે રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી કહ્યું હતું કે, આ ભાઈને પગમાં સળિયા છે દવાખાને જવું છે તમે ઉતરી જાવ તેમ કહી ઉતારી દીધા હતા.બાદમાં હરેશભાઈએ ખિસ્સામાં ચેક કરતા ખિસ્સામાં રાખેલા રૂપિયા 84 હજાર રોકડ જોવા મળી ન હતી. હજુ તે કંઈ સમજે તે પૂર્વ રીક્ષાચાલકે પુરપાટ ઝડપે રીક્ષા ચલાવી મૂકી હતી. જે કેસમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે રિક્ષા ગેંગના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે 2 શખ્સોને પકડવાના હજુ બાકી છે. પોલીસે કોઠારીયા સોલ્વેન્ટમાં હુસેની ચોક પાસે રહેતા 21 વર્ષીય સંજય વિઠ્ઠલ પરમાર તથા ગોકુલધામ ત્રણ માળીયા આવાસમાં રહેતા 24 વર્ષીય હુશેન ફિરોઝ શાહમદારને પકડી પાડ્યા છે. જ્યારે ગોંડલ ચોકડી પાસે ચારબાઈ માતાજીના ઓટા પાસે રહેતા અરવિંદ રાજુ વઢીયારા અને શૈલેષ કાળુ સલાટને ઝડપવાના બાકી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી રૂ.30 હજારની રોકડ અને રૂ.70 હજારની રિક્ષા કબજે કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:37 pm

આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન પડતું મૂકાય તેવી શક્યતા:સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું- 'અમદાવાદમાં થાય છે એટલે ગાંધીનગરમાં જરુર જણાતી નથી'

ગાંધીનગરમાં ગયા વર્ષે ફ્લાવર શોના આયોજનની તૈયારી કરાયા બાદ અંતિમ ઘડીએ આયોજન પડતું મૂકાયું હતું. આ વર્ષે ફરી એકવાર અમદાવાદની માફક ફ્લાવર શો યોજવાની તૈયારીઓ શરૂ કરાઈ હતી. પરંતુ, બજેટને લઈ સર્વસંમતિ ન સધાતી હોય આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન પડતું મૂકાય તેવી શક્યતા છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે, આયોજન હાલ અનિશ્ચિત છે. અમદાવાદમાં જ્યારે ફ્લાવર શોનું આયોજન થાય છે ત્યારે ગાંધીનગરમાં આયોજનની ખાસ જરુર નથી જણાતી. આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન પડતું મૂકાય તેવી શક્યતાગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરિતા ઉદ્યાન ખાતે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ સત્તાધિશો વચ્ચે સર્વસંમતિનો અભાવ અને અંદાજિત ખર્ચમાં થયેલા વધારાને કારણે આયોજન પડતું મૂકવામાં આવે તેવી શક્યતા છે. આ વર્ષે 4 થી 5 કરોડના ખર્ચનો અંદાજ હતોગત વર્ષે સેક્ટર-1ના તળાવ વિસ્તારમાં 2 કરોડના અંદાજિત ખર્ચે ફ્લાવર શો યોજવાનું આયોજન હતું, પરંતુ સત્તાધિશોમાં આંતરિક મતભેદોના કારણે છેલ્લી ઘડીએ તે મોકૂફ રખાયો હતો.આ વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી સરિતા ઉદ્યાન ખાતે ફ્લાવર શો યોજવાનું વિચારાયું હતું. અમદાવાદની જેમ જ ફૂલોના અવનવા સ્ટ્રક્ચર અને પ્રદર્શન ગોઠવવાની તૈયારી હતી.પરંતુ, આ વર્ષે પણ ગત વર્ષની માફક આયોજન પડતું મૂકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે મનપા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત વર્ષે ફ્લાવર શોનો ખર્ચ 2 કરોડ હતો, જ્યારે આ વર્ષે અંદાજિત ખર્ચ વધીને 4થી 5 કરોડ થવાનો અંદાજ હતો. ખર્ચમાં થયેલા આ વધારાને કારણે આયોજન માટે સામૂહિક સર્વસંમતિ સધાઈ શકી નથી. અમદાવાદમાં ફ્લાવર શો યોજાય છે એટલે ગાંધીનગરમાં જરુર જણાતી નથી- સ્ટે. ચેરમેનઆ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, ફ્લાવર શોનું આયોજન હાલ અનિશ્ચિત છે. અમદાવાદમાં મોટાપાયે ફ્લાવર શોનું આયોજન થતું હોય છે. તેથી અહીં ગાંધીનગરમાં અલગથી ફ્લાવર શો યોજવાના આયોજનની ખાસ જરૂર જણાતી નથી. ઉલ્લેખનીય છેકે આ નિર્ણયથી ગાંધીનગરના નાગરિકો કે જેઓ ફૂલોના પ્રદર્શનની રાહ જોઈ રહ્યા હતા તેમને નિરાશા ચોક્કસ મળશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:36 pm

'રંગીલા બાપુ'એ શ્રદ્ધા કપૂરને ડેટ પર લઈ જવી છે:બે પોઈન્ટથી બચ્ચન ફેમિલી સાથે ડિનરની તક ચૂક્યો, KBCમાં ચમક્યો ભાવનગરના બાવળિયાળીનો યુવક

ભાવનગર જિલ્લાના બાવળિયાળી ગામના 28 વર્ષીય હરપાલસિંહ ગોહિલે ‘કૌન બનેગા કરોડપતિ’ની હોટ સીટ પર બેસીને દેશભરના દર્શકોનું દિલ જીતી લીધું છે. ગામમાં ‘રંગીલા બાપુ’ના નામથી ઓળખાતા આ ફની મિજાજના યુવકે અમિતાભ બચ્ચન સામે ખુલ્લેઆમ કહી દીધું કે, “હું શ્રદ્ધા કપૂરનો ક્રેઝી ફેન છું અને મારી વિશ છે કે એક વાર એમને ડેટ પર લઈ જાઉં!” KBCમાં 5 લાખ જીતનાર આ યુવકે જાહેર મંચમાં પોતાને થયેલા અનુભવો શેર કર્યા. આ રોમાંચક એપિસોડ 1 અને 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર જોવા મળશે. સરની એન્ટ્રી થઈ ને હું ચોંકી ગયો કે આ મારું સપનું તો નથી ને28 વર્ષીય હરપાલસિંહે KBCના મંચના બે દિવસના અનુભવ શેર કરતા કહ્યું- સેટનો માહોલ ટીવીમાં જોઈએ અને રિયલમાં જોઈએ એ બહુ જ ફેર હોય છે પહેલી જ વખત હું જ્યારે એન્ટર થયો ત્યારે હું જોતો જ રહી ગયો કે આ મંચ કેવડો મોટો છે? કેટલું પબ્લિક બેઠું હોય? અહીંયા સરની જ્યારે એન્ટ્રી થઈ ત્યારે તો તાળીઓના ગળગળાટ સાથે KBCનો સેટ ગુંજી ઉઠ્યો હતો. હું આમ જોતો જ રહી ગયો અને મારી આંખો ચાર થઈ ગઈ હતી, હું જોઈને ચોંકી ગયો કે આ મારું સપનું તો નથી ને.... સર, મને શ્રદ્ધા કપૂર ખૂબ જ ગમે છેઅમિતાભ બચ્ચન સાથેની વાતચીત દરમિયાન હરપાલસિંહે ખુલ્લા દિલે કહ્યું કે, “સર, મને શ્રદ્ધા કપૂર ખૂબ જ ગમે છે. હું એમનો સૌથી મોટો ફેન છું અને મારી સૌથી મોટી વિશ છે કે, એક વાર એમને ડેટ પર લઈ જાઉં.” આ સાંભળીને બિગ બીએ તરત જ હસતાં-હસતાં કહ્યું કે “ચાલો, હું હમણાં જ શ્રદ્ધાને ફોન કરું છું.” મંચ પરથી જ અમિતાભ સરે શ્રદ્ધા કપૂરને કોલ કરવાનો પ્રયત્ન કર્યો પણ શ્રદ્ધા કોઈ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી કોલ કનેક્ટ ન થયો તો પણ અમિતાભે કેમેરા સામે જ શ્રદ્ધા સુધી મેસેજ પહોંચાડી દીધો કે, “શ્રદ્ધા, તમારો એક ક્રેઝી ફેન અહીં મારી સામે હોટ સીટ પર બેઠો છે. એ તમને ખૂબ જ પસંદ કરે છે. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એની સાથે વાત કરજો.” આ મેસેજ સાથે જ સ્ટુડિયોમાં તાળીઓનો ગડગડાટી ગુંજી ઉઠ્યો હતો. ગુજરાત આવ્યા ત્યારે મારા ઘરે કેમ ન આવ્યા?અમિતાભ સરને એક કમ્પ્લેન પણ કરી હતી કે, જ્યારે તમે ગુજરાતમાં આવ્યા શૂટિંગ માટે બ્લેક નેશનલ પાર્ક આવ્યા હતા ત્યારે મારું ઘર ત્યાંથી 5 કિલોમીટર હતું તો તમે મને કેમ મળવા ન આવ્યા ત્યારે અમિતાભ બચ્ચન સાથે જવાબ આપ્યો હતો કે તમે મને પહેલા કહી દીધું હોત તો હું તમને મળવા આવે એવી રીતે ફની ટોનમાં જવાબ આપ્યો હતો, હવે પછી આવીશ ત્યારે 100 ટકા તમને મળવા આવીશ. રંગીલા બાપુ નામ પાછળનું રહસ્ય ખોલ્યુંઅમિતાભ સરે મને 'રંગીલા બાપુ'ના નામથી બોલાવ્યો હતો. આ નામનું રહસ્ય જણાવતા કહ્યું કે, મારે એવું છે કે ગ્રુપમાં મારે બધા રંગીલા બાપુ કહીને જ બોલાવે છે કારણ કે મારો સ્વભાવ ફની ટાઈપનો છે અટપટો છે એના નામ પરથી મને લોકો નાનપણથી જ રંગીલા બાપુ ના નામથી બોલાવે છે રંગીન મિજાજ વાળો છોકરો. ઓડિયન્સ પોલના સવાલનો જવાબ ખોટો પડતા બહારઅમિતાભ સર સાથે સતત બે દિવસ સુધી હોટ સીટ પર બેસી તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. પહેલા દિવસે હોટ સીટ પર પાંચ સવાલના જવાબ આપ્યા હતા બાદમાં જ હુટર વાગી જતા મને બીજા દિવસે પણ હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો. મને જી.કે.ના સવાલ અને કરંટના સવાલ પૂછ્યા હતા. તે સિવાય ઇન્ટરનેશનલ લેવલના સવાલ પણ હતા. ₹7.50 લાખનો સવાલ આવતાં તેણે છેલ્લી બચેલી લાઇફલાઇન ‘ઓડિયન્સ પોલ’ વાપરી, જેમાં 41% લોકોએ જે વિકલ્પ પસંદ કર્યો એ જવાબ ખોટો નીકળતાં તે ₹5 લાખ પર જ અટકી ગયો. જોકે આ ‘નો રિસ્ક નો’ સવાલ હોવાથી ખોટો જવાબ પડવા છતાં પણ ₹5 લાખની રકમ સુરક્ષિત રહી. ગેમમાંથી બહાર થતા જ હું રડી પડ્યોઓડિયન્સ પોલ લાઇફલાઇનના ખોટા જવાબથી હું ગેમમાંથી બહાર થતા ખૂબ જ નિરાશ થઈ ગયો હતો અને મારી આંખમાંથી આંસુ આવી ગયા. આ સમયે KBCની ટીમે તેને મંચની બહાર બેસાડીને દિલાસો આપ્યો હતો. ટીમના સભ્યોએ કહ્યું, “અરે સર, તમે રડો છો એમ? તમને ખબર છે ને, દર રવિવારે જ્યારે બચ્ચન સર પોતાના ઘરની અગાશી પર અડધી કલાક માટે એક ઝલક આપવા આવે છે ત્યારે લાખો લોકો એક ઝલક માટે પાગલ થઈ જાય છે અને તમને તો એક નહીં પણ પૂરા બે દિવસ સુધી અમિતાભ સરની સામે હોટ સીટ પર બેસીને વાત કરવાનો મોકો મળ્યો છે! તમે કેટલા નસીબદાર છો!” આ વાતોએ હરપાલસિંહની નિરાશાને ગર્વમાં બદલી નાખી અને તેને સમજાયું કે ₹5 લાખની જીત કરતાં પણ મોટી જીત તો અમિતાભ બચ્ચન સાથે બે દિવસની એ યાદગાર મુલાકાત હતી. બે પોઈન્ટથી બચ્ચન ફેમિલી સાથે ડિનર કરવાની તક ચૂક્યોKBCમાં મે કુલ 16 સવાલોનો સામનો કર્યો. પહેલા બે પડાવ પાર કરી ₹5 લાખ સુધી સરળતાથી પહોંચી ગયો. ત્યારબાદ ‘સુપર સંદૂક’ રાઉન્ડમાં 90 સેકન્ડમાં 10 પ્રશ્નોના જવાબ આપવાના હતા તેમાંથી 8 સવાલના જ જવાબ સાચા પડ્યા અને માત્ર બે પોઈન્ટથી ચૂકી ગયો, નહીં તો બચ્ચન ફેમિલી સાથે આખા પરિવારને ડિનર કરવાનો ગોલ્ડન મોકો મળી જાત. બચ્ચન સાહેબ સામે બે દિવસ બેસી આવ્યો, તું ખરેખર નસીબદાર છેKBCના સેટ પરથી પરત ફર્યા પછીના અનુભવ વિશે હરપાલસિંહે જણાવ્યું કે, અમારી સાથે 10 કન્ટેસ્ટન્ટ હતા, તેમાંથી દિલ્હીની એક મહિલાએ કહ્યું હતું, “બેટા, 2002થી લઈને 2025 સુધી એટલે કે પૂરા 23 વર્ષથી હું KBCમાં આવવાનો પ્રયત્ન કરું છું પણ હજુ હોટ સીટ સુધી નથી પહોંચી. તું માત્ર ત્રણ-ચાર વર્ષથી ટ્રાય કરે છે અને બચ્ચન સાહેબ સામે બે દિવસ બેસી આવ્યો! તું ખરેખર નસીબદાર છે.” તે મહિલાએ વધુમાં કહ્યું, “પૈસા તો આવે-જાય પણ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાનો મોકો કરોડો રૂપિયાથી પણ મોટો છે – બધાને નથી મળતો, આ તારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે.” અરે હરપાલ KBCના સેટ સુધી પહોંચી ગયો?ગામમાં પાછા ફરતાં જ બાવળિયાળીમાં ખળભળાટ મચી ગયો. સગા-વ્હાલા સહિત ગામના લોકો ચોંકી ઊઠ્યા કે, “અરે હરપાલ KBCના સેટ સુધી પહોંચી ગયો?” કારણ કે લોકો જાણે છે કે હોટ સીટ સુધી પહોંચવું એ સપનું પણ નથી. કેટલાય લોકો 20-25 વર્ષ સુધી પ્રયત્ન કરે છે તો પણ નથી પહોંચી શકતા. હરપાલસિંહ કહે છે, “આજે KBCના કારણે મારા ગામમાં અને સમાજમાં મારું માન-પ્રતિષ્ઠા ઘણું વધી ગયું છે, એનો હું સૌને આભારી છું.” સરકારી નોકરીની કરે છે તૈયારી28 વર્ષીય હરપાલસિંહ ગોહિલ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે અને સાથે-સાથે અમદાવાદની એક NGOમાં અનાથ અને મા-બાપ વગરના નાના બાળકોને ફ્રી ટ્યુશન પણ ભણાવે છે. આ સેવાકાર્યની અમિતાભ બચ્ચને પણ ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “બેટા, તું ખૂબ સારું કામ કરે છે. થોડું પણ સમાજને યોગદાન આપી શકીએ તો એ મોટી વાત છે.” જીતેલી રકમ વિશે કહ્યું કે, “હવે મારું સપનું GPSC ક્લિયર કરવાનું છે, આ પૈસા કોચિંગ ક્લાસ અને પરિવારના સપોર્ટ માટે વાપરીશ.” પરિવાર વિશે વાત કરતાં હરપાલસિંહે જણાવ્યું કે, અમે મમ્મી-પપ્પા, પાંચ બહેનો અને ત્રણ ભાઈઓ છીએ. પપ્પા પથુભા ગોહિલ ખેડૂત છે અને ખેતી કરે છે; કામ વધારે હોય ત્યારે હું પણ ખેતરમાં હાથ બટાવું છું. મમ્મી ગૃહિણી છે, નાનો ભાઈ નળ સરોવરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડ છે અને પાંચેય બહેનોનાં લગ્ન થઈ ગયાં છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:30 pm

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સોમનાથ દર્શન કર્યા:પ્રથમ જ્યોતિર્લિંગની સંધ્યા આરતી અને લાઈટ એન્ડ સાઉન્ડ શો માણ્યો

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા ગીર સોમનાથ જિલ્લાની બે દિવસની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેમણે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિરના પ્રાંગણમાં ઢોલ અને શરણાઈના સૂરો વચ્ચે ઉપરાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મહાદેવના દર્શન કર્યા બાદ સૂર્યાસ્ત સમયે યોજાયેલી સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે સોમનાથની સંસ્કૃતિ દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ માણ્યો હતો. મહાદેવના દર્શન પછી ઉપરાજ્યપાલએ સમગ્ર પરિસરમાં પ્રદક્ષિણા કરી હતી. તેમણે કપર્દિ વિનાયક ગણપતિજી સહિત પરિસરમાં આવેલા વિવિધ સ્થાનો વિશે માહિતી મેળવી હતી. બપોર બાદ ઉપરાજ્યપાલ ઈણાજ કોસ્ટગાર્ડ હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા અને કોસ્ટગાર્ડ સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર સંજયકુમારે તેમનું સ્વાગત કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:26 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:રાજકોટને ઉડતા પંજાબ બનતું અટકાવવા 16 સ્થળોએ ચેકીંગ, પોલીસને કઈ ન મળ્યુ

શહેરને ઉડતા પંજાબ થતાં અટકાવવા પોલીસ મેદાને પડી છે અને કેબિન પાર્લર, કાફે અને પાનના ગલ્લાઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું. એસઓજીની અલગ અલગ ચાર ટીમો દ્વારા શહેરના અલગ અલગ 16 સ્થળોએ ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. શહેરના યુવાધનને ડ્રગ્સ સહીતની નશાની બદ્દીથી દૂર રાખવા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ, ન્યારી ડેમ સહિતના સ્થળે અલગ અલગ ટીમો બનાવી પાનના ગલ્લા, કેબિન પાર્લર, કાફે સહિતના સ્થળે ચેકીંગ શરૂ કર્યું હતું. એસઓજી દ્વારા અહીં નશાકારક પદાર્થ જેવા કે ઈ-સિગરેટ(વેપ), હૂકા તેમજ અન્ય નશા માટે ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓના વેચાણ અંગે કડક ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે, પોલીસના ચેકીંગમાં કોઈ પણ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યું ન હતું. ઉપરાંત અલગ અલગ કેબિન પાર્લર અને કાફેમાં દોડી જઈ યુવાનોના બેગથી માંડી તમામ ચીજ વસ્તુઓ ચેક કરવામાં આવી હતી તેમજ નશાની બદ્દીથી દૂર રહેવા સમજણ પુરી પાડવામાં આવી હતી. PGVCL ના જુ. ઈજનેર - સાથી કર્મચારી પર હૂમલા કેસમાં 3 વર્ષ બાદ 6 માસની કેદની સજા પડી પીજીવીસીએલના જુનીયર ઈજનેર અને તેના સાથી કર્મચારી ઉપર હુમલો કરવાના તથા ફરજ રૂકાવટના ગુનામાં કોર્ટે ઉમરાળીના ઘનશ્યામભાઈ લાભુભાઈ જલુને છ માસની કેદની સજા તથા દંડ ફટકાર્યો છે.ઈજા પામનારને રૂ.10- 10 હજારનું વળતર ચુકવવા પણ અદાલતે હુકમ કર્યો છે. આ કેસની હકીકત એવી છે કે સરધાર સબ ડીવીઝનમાં ફરજ બજાવતા જુનીયર ઈજનેર ગોરવ વિરસંગભાઈ સોલંકી અને તેના સાથી કર્મચારી અમરશીભાઈ રામજીભાઈ ગોહીલ ઉપર ઉમરાળીના ઘનશ્યામભાઈએ હુમલો કર્યો હતો અને ફરજમાં રૂકાવેટ કરેલ હતો.તા.26/4/2022ના રોજ હોડથલી ગામમાં માતાજીનો માંડવો હોય જેથી સરપંચે લખેલી અરજી તથા ઉપરી અધિકારી કલોલાએ આપેલ સુચનાને અનુસંધાને ઉમરાળી ગામનો 3 ફેઝ પાવર ચેન્જ કરતા આરોપીએ એવું કહ્યું કે અમારો પાવર બંધ કેમ કર્યા અને પોતાની બોલેરો જીપમાંથી ધારીયુ લઈ ફરીયાદી ઈજનેરને મારવા દોડેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી તથા અન્ય કર્મચારીને ઝાપટ મારી ફરજમાં રૂકાવટ કરેલ હતો. AIIMS હોસ્પિટલના કર્મચારીનું શ્વાન આડુ ઉતરતા બાઇક સ્લીપ થતા સારવારમાં મોત અઝમતુલ્લાહ એઝાઝહુસેન ખાન (ઉં.વ. 27, રહે.નહેરુનગર શેરી નંબર 3, રૈયા રોડ, રાજકોટ) તા. 28ના રોજ એઇમ્સ હોસ્પિટલ પાસે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે શ્વાન આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતુ. જેથી તે ગંભીર રીતે ઘવાયો હતો. માથામાં અને શરીરે ઈજા થઈ હતી. જે બાદ તત્કાલ સારવાર માટે ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તેનું મોત નીપજ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ દ્વારા થયેલી પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે, મૃતક એઇમ્સ હોસ્પિટલમાં ડિરેકટરની પીએ ઓફિસમાં કાયમી કર્મચારી હતો. તે મૂળ રાજસ્થાનનો વતની હતો. તે નોકરી પરથી છૂટી બાઈક પર ઘરે જતો હતો ત્યારે એઇમ્સ હોસ્પિટલના ગેઇટથી આગળ રોડ પર શ્વાન આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે ઘવાયો હતો. સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. ફૂડ પોઇઝનિંગથી ત્યકતાનું મૃત્યુ રૈયારોડ સ્લમ કવાર્ટરમાં ફૂડ પોઇઝનિંગથી 24 વર્ષીય ત્યક્તાનું મૃત્યુ થયું હતુ. સલમા મહેબુબભાઈ ઠેબા (ઉ.વ.ર4, રૈયાધાર સ્લમ ક્વાર્ટર)ને ઘરે ઉલટી થતાં ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં બપોરે 1 વાગ્યાં આસપાસ તેનું મૃત્યુ થયું હતું. પરિવારે જણાવ્યું કે, સલમાના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા.સંતાનમાં એક પુત્ર છે. જે બાદ છૂટાછેડા લઈને પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. શનિવારે રાત્રે ઘરે ખીચડી, શાક, રોટલી, ટીંડોળા-બટેટાનો સંભારો વગેરે ભોજન સલમા, તેના પિતા અયુબભાઈ અને માતા મુમતાઝ જમ્યા હતા. બાદમાં સૌથી પહેલા મુમતાઝબેનને ઉલટી થઈ પછી અયુબભાઈને બે વાર ઉલટી થઈ હતી અને સવારે સલમાને 4 વખત ઉલટી થઈ.તબિયત લથડતા સલમાને ખાનગી બાદ સિવિલ હોસ્પિટલે લઈ જવાઈ હતી. જ્યાં તેનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતુ. નિવૃત પોલીસમેનનો જિંદગીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કિશોરભાઈ કરશનભાઈ સવાણી (ઉ.વ. 71, રહે. 102, એલિના ઇન્કલેવ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક, મવડી)એ ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમના પત્ની બજારમાં ગયા હતા અને પાછળથી કિશોરભાઈએ આ પગલું ભર્યું હતું. કોઈએ 108ને જાણ કરતા સ્થળ પર પહોંચેલા તબીબે વૃધ્ધને મૃત જાહેર કર્યાં હતા. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કિશોરભાઈ પોરબંદર ખાતે પોલીસમેન હતા. ઘણા સમય પહેલા નિવૃત થઈ ગયા હતા. તેઓને સંતાનમાં 3 દીકરા છે. દીકરાઓ અલગ રહે છે. કિશોરભાઈ તેમના પત્ની સાથે રહેતા હતા. જિંદગીથી કંટાળી પગલું ભર્યાનું પરિવારનું અનુમાન છે. જોકે પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. જૂની અદાવતમાં 5 શખ્સોએ યુવાનને આંતરી બાઇકમાં તોડફોડ કરી આજી વસાહતમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો હતો. જેમાં યુવાનને આંતરી બેફામ ફટકારી બાઈકમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. યુવાન સાથે જૂની અદાવતનો ખાર રાખી બાઇકમાં તોડફોડ કરી રૂ.25 હજારનું નુકશાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બનાવ અંગે આજી વસાહતમાં આંબેડકરનગર શેરી નં.11 માં રહેતાં સુજલભાઈ સંજયભાઈ બાબરીયા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુજલ દિપક પરમાર, મયુર કિશોર ખીમસુરીયા, જયેશ ઉર્ફે જયુ મુકેશ ચાવડા, મોહિત ઉર્ફે કાળુ દીપક પરમાર અને મીત ઉર્ફે મિતુ ઈશ્વર પરમાર (રહે. તમામ થોરાળા, રાજકોટ) નું નામ આપતાં થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. પૌત્રીને સ્કૂલેથી ઘરે લઈ જતા એસ્ટેટ બ્રોકર સાથે અકસ્માત સર્જી 4 શખ્સોની મારી નાખવાની ધમકી આજી વસાહત પાસે આંબેડકર નગર શેરી નંબર 14 માં રહેતા અને જમીન મકાન લે વેચનો વ્યવસાય કરનાર વસંતભાઈ દેવશીભાઈ ચાવડા (ઉ.વ. 60) નામના વૃદ્ધે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હમીર મેઘજીભાઈ મકવાણા, ધવલ હમીરભાઈ, જયદીપ હમીરભાઈ અને ગિરધર ઉર્ફે ગીધો પૂજા સોલંકીના નામ આપ્યા છે.જે ફરિયાદના આધારે થોરાળા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. વધુમાં વસંતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 16/9 ના બપોરના તેઓ તેમની પૌત્રીને સ્કૂલેથી લઈ પરત આવતા હતા ત્યારે 80 ફૂટ રોડ પર પહોંચતા સામેથી હમીર મકવાણા પૂરપાટ ઝડપે વાહન લઇ ધસી આવ્યો હતો જેથી અકસ્માત થતાં વસંતભાઈની પૌત્રીને ઇજા પહોંચી હતી. આ બાબતે ટકોર કરતા હમીર, ધવલ અને જયદીપે અહીં આવી વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ગિરધર ઉર્ફે ગીધાએ વૃદ્ધને પકડી રાખ્યા હતા જે મામલે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. કુખ્યાત તસ્કર પાસા હેઠળ જૂનાગઢ જેલમાં ધકેલાયો રાજકોટમાં અગાઉ ચોરીના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મૂળ રાણાવાવના રાણા ખીરસરા ગામના વતની અને હાલ રાજકોટમાં સરિતા વિહાર પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ગૌતમ ઉર્ફે કાનો કેશુ મકવાણા(ઉ.વ. 21) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી હતી. કમિશનર બ્રજેશકુમાર ઝાએ દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતુ. દરમિયાન તાલુકા પોલીસ મથકના સ્ટાફે વોરંટની બજવણી કરી આરોપી ગૌતમ ઉર્ફે કાનો મકવાણાની પાસા હેઠળ અટકાયત કરી તેને જૂનાગઢ જેલહવાલે કરી દીધો હતો. આરોપી ગૌતમ ઉર્ફે કાના સામે રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી, બી ડિવિઝન અને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મળી ચોરીના 4 ગુના નોંધાઇ ચૂકયા છે. જેતપુરના દારૂના ગુનામાં 1 વર્ષથી ફરાર શખ્સને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી આધારે ઝડપી લઈ જેતપુર પોલીસને હવાલે કર્યો છે. ખાનગી રાહે મળેલી હકીકતના આધારે રાજકોટ શહેર જામનગર રોડ નવા 150 ફુટ રીંગ રોડ ચોકડી ખાતેથી રાજકોટ ગ્રામ્યના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હમાં છેલ્લા આશરે 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. યુસુફ હસનભાઇ હીંગોરા (ઉ.વ.35, રહે.હાલ સાધુ વાસવાણી રોડ પરના આવાસ, રાજકોટ) ઝડપી લઈ અટકાયત કરી હતી. ઝડપાયેલ યુસુફ જેતપુર, ટંકારા, રાજકોટના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 9:07 pm

જમીન પર મુક્ત થયા બાદ ફરાર આરોપી ઝડપાયો:વડોદરા સેન્ટ્રલ જેલમાં 34 માસની સજા દરમિયાન પેરોલ પર ગયા બાદ ફરાર પાકા કેદીને ક્રાઇમ બ્રાંચે અમદાવાદથી ધરપકડ

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લો ટીમે ગંભીર ગુનાઓમાં ફરાર થયેલા આરોપીઓની શોધખોળ દરમિયાન મોટી સફળતા મળી છે. ફેમિલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 34 માસની સજા અને વચગાળાના જામીન દરમિયાન ફરાર થયેલ પાકા કેદીને ટીમે અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી લલીતકુમાર વડોદરા નામદાર ફેમિલી કોર્ટના ચુકાદામાં 34 માસની સજા ભોગવી રહ્યો હતો અને તેને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. તા. 14/05/2021થી તા. 13/08/2021 સુધી 90 દિવસની વચગાળાની જામીન રજા (પેરોલ) પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, તા. 14/08/2021ના રોજ જેલમાં પરત ફરત હાજર થવાનું હોવા છતાં તે હાજર ન થતાં ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. જેલ વિભાગ તરફથી ફરાર કેદીની શોધખોળ માટે પત્ર મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી એકત્ર કરી હતી. મળેલી બાતમીના આધારે ટીમ અમદાવાદના નરોડા વિસ્તારમાં પહોંચી અને ખાનગી વોચ રાખીને આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતે 34 માસની સજા ભોગવતો પાકા કેદી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ આરોપીને પકડીને કરી બાકીની સજા ભોગવવા વડોદરા મધ્યસ્થ જેલમાં સોંપી દેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી લલીતકુમાર છબીલદાસ અંગનાની (ઉં.વ.35) છે, જે મૂળ રાજસ્થાનના અજમેરનો વતની છે અને હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં સંતાનુઝ બંગલોઝમાં રહે છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:54 pm

ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ:રાજકોટમાં દેશની 32 ટીમો વચ્ચે મહાસંગ્રામ ખેલાશે, તમામ ટીમો તેમજ પેરામિલેટ્રી ફોર્સ રાજકોટ પહોંચી, રેન્જ આઈજીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

આગામી 4થી 14 ડિસેમ્બર રાજકોટ શહેર 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપની યજમાની કરવા માટે સજ્જ થઈ ગયું છે. આ એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા છે જેમાં સમગ્ર ભારતની પોલીસ દળો અને પેરા મિલિટરી ફોર્સની શ્રેષ્ઠ ટીમો ભાગ લે છે. આ મેગા ઈવેન્ટના સુચારુ અને સફળ આયોજન માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં ચેમ્પિયનશિપની તમામ તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપ માત્ર એક રમતગમતની ઘટના નથી, પરંતુ તે દેશના કાયદા અમલીકરણ દળોમાં શિસ્ત, ટીમ વર્ક અને ખેલદિલીની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે, જેનો રાજકોટ શહેર સાક્ષી બનશે. આ માટે આજે તમામ ટીમો તેમજ પેરામિલેટ્રી ફોર્સ પણ રાજકોટ આવી પહોંચી હતી. હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે યોજાયેલી બેઠકમાં ડીસીપી ઝોન 1 હેતલ પટેલે જણાવ્યું કે, હોકી ચેમ્પિયનશિપના 74મા સંસ્કરણમાં દેશભરમાંથી કુલ 32 ટીમો ભાગ લેવા માટે નોંધણી કરાવી ચૂકી છે. આ ટીમોમાં ભારતના 18 રાજ્યોની પોલીસની પુરૂષોની 24 ટીમ અને મહિલાઓની 8 ટીમો તેમજ વિવિધ પેરા મિલિટરી ફોર્સની ટીમોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં ટીમોની ભાગીદારી સ્પર્ધાની મહત્તા અને રાષ્ટ્રીય સ્તર પર પોલીસ દળોમાં હોકી પ્રત્યેના ઉત્સાહને દર્શાવે છે. આ તમામ મેચો રાજકોટના મુખ્ય બે સ્થળો, રેસકોર્સ ખાતેના મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે રમાશે. ખેલાડીઓને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે હેતુથી તમામ ટીમોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને તાલીમ માટેની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓના નિવાસની વ્યવસ્થા પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત વિશ્રામ સદન ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ માટે તાલીમ ઝોન, અદ્યતન મેડિકલ સુવિધાઓ અને અન્ય આનુષંગિક સેવાઓ સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન અને સમાપન સમારોહનું આયોજન પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ, રાજકોટ શહેર ખાતે કરવામાં આવ્યું છે. ડીસીપી હેતલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાય મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. તેમની સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને દેશભરમાંથી આવેલા ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે. 03 ડિસેમ્બરના રોજ હોકી ચેમ્પિયનશિપનું સંપૂર્ણ રિહર્સલ યોજાશે, જેથી મુખ્ય કાર્યક્રમમાં કોઈ ક્ષતિ ન રહે. 14 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપન સમારંભ યોજાશે, જેમાં વિજેતા અને રનર-અપ ટીમોને ટ્રોફી અને પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવશે. ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારંભ, સમાપન સમારંભ અને ડીજીપી ડિનરના આયોજન માટે પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઇવેન્ટને માત્ર રમતગમત પૂરતી સીમિત ન રાખતા, તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુજરાતની સમૃદ્ધ પરંપરા તેમજ સંસ્કૃતિ દર્શાવતી ઇવેન્ટોનું આયોજન કરવામાં આવશે, જે અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ અને અતિથિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સમારંભોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તમામ આયોજનોની ઝીણવટપૂર્વક માહિતી મેળવીને સમયસર અને ગુણવત્તાયુક્ત વ્યવસ્થા માટે સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપી હતી. આ ચેમ્પિયનશિપના સરળ સંચાલન અને રાજકોટ ખાતે આવનારી તમામ ટીમોને મદદરૂપ થવા માટે રાજકોટ શહેર પોલીસના કર્મચારીઓને લાયઝનિંગ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે. આ લાયઝનિંગ ઓફિસરો ટીમોને રહેઠાણ, પરિવહન અને અન્ય જરૂરિયાતોમાં મદદ કરશે, જેથી ખેલાડીઓ કોઈ પણ અવ્યવસ્થા વગર માત્ર રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરો અને અન્ય પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને સૌએ ચેમ્પિયનશિપને સફળ બનાવવા માટે સંયુક્ત પ્રયાસોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજકોટ શહેર આ રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટને સફળ બનાવીને તેની મહેમાનગતિ અને રમતગમત પ્રત્યેના ઉત્સાહનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે તૈયાર છે. આ ચેમ્પિયનશિપ પોલીસ દળો વચ્ચે મિત્રતા અને સહકારની ભાવનાને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:23 pm

જૂનાગઢ વહીવટી તંત્ર ગંભીર વિવાદના વમળમાં:'જાતિવાદી અધિકારીઓ' માત્ર દલિતોને જ ટાર્ગેટ કરે છે, ગૌચરના દબાણથી માંડીને ખનીજ ચોરી સુધીના 7 મુદ્દે ગંભીર આરોપ

જૂનાગઢ જિલ્લાનું વહીવટી તંત્ર હાલમાં ગંભીર જાતિવાદી વલણ અને ભ્રષ્ટાચારના આક્ષેપોના વમળમાં ફસાયું છે. જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પર માત્ર દલિત સમાજને જ ટાર્ગેટ કરવાનો અને સત્તાનો દુરુપયોગ કરવાનો સીધો આરોપ લગાવ્યો છે. આગેવાનોએ વંથલી અને માણાવદર તાલુકાના ગામોમાં માત્ર દલિતોના દબાણ દૂર કરવા, અન્ય સમુદાયોના 500 વીઘાના દબાણ સામે આંખમીંચામણા કરવા, માળીયા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 17 કરોડનો ભ્રષ્ટાચાર કરવા અને 11 ખાણ માફિયાઓ પાસેથી 44 કરોડની ખનીજ ચોરીની વસૂલાત ન કરવા જેવા 7 મુખ્ય મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું છે. આ આવેદનપત્રની નકલ રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પણ મોકલવામાં આવી છે. આઝાદીના 78 વર્ષ પછી પણ જૂનાગઢ જિલ્લાના ભ્રષ્ટાચારી અને જાતિવાદી વહીવટી તંત્રની રજૂઆત કરવી પડે છે તે વાતનો વસવસો વ્યક્ત કરતાં આગેવાનોએ જણાવ્યું કે, આ બેશરમ અધિકારીઓ કાયદા અને નિયમોને નેવે મૂકી મોટા માલદાર લોકોને કરોડોનો ભ્રષ્ટાચાર કરાવે છે, જ્યારે નાના માણસોને કાયદાનો દંડો બતાવી ચૂપ કરી દેવામાં આવે છે. ​ ગૌચર દબાણ અને દલિત ખેડૂતને ટાર્ગેટવંથલી તાલુકાના આખા ગામે એક જમીનમાં ગામના આશરે 60 જેટલા ખાતેદાર ખેડૂતોએ દબાણ કરેલું છે. તેમ છતાં, ગામના સરપંચે માત્ર એક જ દલિત દબાણદાર રાજાભાઈ રાણાભાઈ સોલંકી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી. વર્ષ 2023 અને 2024માં જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિએ આ અરજી એવા કારણોસર ફાઈલ કરી હતી કે ગૌચરનું દબાણ દૂર કરવાની જવાબદારી પંચાયતની છે અને જમીનની માપણી ન થઈ હોવાથી દબાણ સાબિત થતું નથી. જોકે, આ પછી પંચાયત દ્વારા લાયસન્સી સર્વેયરને હાયર કરીને ગેરકાયદેસર રીતે પંચાયત ઓફિસે બેઠા-બેઠા માપણી સીટ તૈયાર કરાવી દેવામાં આવી. 60 ખાતેદારનું દબાણ હોવા છતાં, માત્ર એક દલિત ખાતેદારને જ ટાર્ગેટ કરી તેમના વિરુદ્ધ ગેરકાયદેસર રીતે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરીને તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. માણાવદરના ખડીયા ગામે માત્ર દલિતોના દબાણ દૂર કરાયાગત તા. 8 મે, 2025 અને 22, મે 2025ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે, માણાવદર તાલુકાના ખડીયા ગામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા માત્ર દલિતોના જ દબાણ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સમુદાયોના 500 વીઘા જમીન પરના દબાણો દૂર કરવાની રજૂઆતો છતાં આજદિન સુધી કાર્યવાહી થઈ નથી. તંત્ર દ્વારા અન્ય દબાણદારોને નોટિસો આપવામાં આવી હોવા છતાં, દબાણ દૂર કરવાનો કાર્યક્રમ નક્કી કરીને પણ યેનકેન કારણો આપી તંત્ર સ્થળ પર પહોંચ્યું જ નથી. આ ગામે આશરે 25 વીઘા જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને ગૌશાળા ઉભી કરી દેવામાં આવી છે. આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો કે, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર દલિતોના દબાણને ફાંસીએ ચડાવી દેવા અને અન્યના દબાણ પર ચૂપ રહે છે થાનીયાણા ગામે 500 વીઘા જમીન પર અન્ય સમાજનું દબાણ​માણાવદર તાલુકાના થાનીયાણા ગામે સ્થાનિક પંચાયત અને વહીવટદાર દ્વારા તારીખ 10, ડિસેમ્બર 2024ના 37 જેટલા દલિત-પછાત આસામીઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જોકે, આ ગામે ગૌચરમાં 500 વીઘા જેટલી જમીનનું અન્ય સમાજના લોકો દ્વારા હાલ પણ દબાણ છે. પટેલ સમાજના દબાણમાં આવેલો રસ્તો, ગેરકાયદેસર બાંધકામથી બનેલું શંકર મંદિર અને અન્ય આશરે 100 જેટલા ખાતેદારો દ્વારા કરાયેલું દબાણ દૂર કરવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને તારીખ 22, મે 2025થી લેખિત રજૂઆત કરાઈ છે. તેમ છતાં, આજદિન સુધી આ 'જાતિવાદી અધિકારીઓ' દ્વારા અન્ય દબાણદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ​માળીયા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભયંકર ગેરરીતિજૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભયંકર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ મૂકાયો છે. તારીખ 10, નવેમ્બર 2025ના રોજ કરાયેલી રજૂઆત મુજબ, વર્ષ 2022થી 2025 દરમિયાન આ તાલુકામાં અંદાજે 1400 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. 50 ટકા ઉપરાંત આવાસોને પ્લીન્થ લેવલે જ સંપૂર્ણ સહાય ચુકવાઈ ગઈ છે. જૂના મકાનોના ફોટા પાડી કે જૂના મકાનોનું રિનોવેશન કરીને અરજદાર અને આવાસ યોજનાના વિસ્તરણ અધિકારી વચ્ચે સહાયની રકમના 50-50 ટકાની રોકડી કરી લેવામાં આવી છે. 70 ટકા જેટલા મકાનો બન્યા જ નથી અને વાડી વિસ્તારમાં યોજનાના નિયમોને નેવે મૂકીને સહાય ચૂકવાઈ છે. આગેવાનોનો અંદાજ છે કે આશરે 17,00,00,000 (સત્તર કરોડ) જેટલી રકમ ઓળવી લેવામાં આવી છે. ખોટા દસ્તાવેજોથી બિન-ખાતેદાર વ્યક્તિને ખાતેદાર બનાવવાનો આરોપતારીખ 1 મે, 2025ના કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર, જૂનાગઢને એક લેખિત અરજી આપી ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી બિન-ખાતેદાર વ્યક્તિને ખાતેદાર બનાવી દેવાના કૌભાંડનો આક્ષેપ કરાયો હતો. જૂનાગઢ તાલુકાના વડાલ ગામના ખાતેદાર ખેડૂત નારદભાઈ ગોરધનભાઈ ઉમરેઠીયાએ વડાલ અને ચોકી ગામે આવેલી પોતાની જમીનોમાં વારસદારોના નામ દાખલ કરાવ્યા હતા. ​વડાલ ગામે વારસદાર તરીકે પત્ની અને બે પુત્રો (અતુલ અને કલ્પેશ)ના નામ દાખલ કરાયા હતા. જ્યારે ચોકી ગામે આવેલી જમીનમાં પત્ની અને ત્રણ પુત્રો (અતુલ, કલ્પેશ તથા ગણેશદાસ)ના નામ દાખલ કરવા અરજી કરી હતી. આ ગણેશદાસ રાજસ્થાની છે અને સાધુ જીવન વિતાવે છે. આ વ્યક્તિએ ચોકી ગામની જમીનમાં ખાતેદાર બનવા માટે બાંટવા સી.ટી. તલાટીનું પેઢીનામું રજૂ કર્યું હતું. ખાતેદાર બન્યા પછી ગણેશદાસે ગુજરાતમાં કરોડો રૂપિયાની જમીનો ખરીદ કરી છે. અરજીને 6 મહિના વીતવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આગેવાનોએ આરોપ મૂક્યો કે, 25 લાખ જેવી રકમનો તોડ કરીને પ્રાંત, મામલતદાર અને કલેક્ટરે મળી ષડયંત્ર રચી ગણેશદાસને ખાતેદાર ખેડૂત બનાવી દીધો છે. 44 કરોડની ખનીજ ચોરીની વસૂલાત નહીં!સરકારના અધિક નિયામક, અપીલ અને ફ્લાઈંગ સ્કોડ (ખાણ-ખનીજ) વિભાગની સૂચનાના આધારે ભૂસ્તરશાસ્ત્રી, જૂનાગઢની કચેરી દ્વારા તારીખ 22, એપ્રીલ 2024ના પત્રથી જૂનાગઢ જિલ્લાના 11 ખાણ માફિયાઓ પાસેથી 44,05,66,903 જેવી ખનીજ ચોરીની રકમ વસૂલવાની બાકી છે. આટલી મોટી રકમની ખનીજ ચોરી થઈ હોવા છતાં, આજદિન સુધી કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આ રકમની રેવન્યુ રાહે વસૂલાત કરવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આગેવાનોએ આરોપ મૂક્યો કે, સરકારની તિજોરીને કરોડોનો ચૂનો લગાવનાર લોકો આજે પણ ખનીજ ચોરી ચાલુ રાખી રહ્યા છે, અને જૂનાગઢ જિલ્લાનું તંત્ર બધું જ જાણીને આંખમિંચામણા કરી રહ્યું છે. આ મામલે રાજ્યકક્ષાએથી તાત્કાલિક કાર્યવાહી કરીને રકમ વસૂલ કરવા અને વ્યાજ સાથે વસૂલાત કરવાની માગ કરાઈ છે. ​52 લીઝધારકોની માપણીમાં અનિયમિતતાભૂસ્તરશાસ્ત્રી જૂનાગઢને મળેલી રજૂઆતોના આધારે, તેમણે કરેલી તપાસમાં પ્રાથમિક રીતે માલુમ પડ્યું હતું કે, જૂનાગઢના ખાણ-માફિયાઓએ પોતાની લીઝની મર્યાદાની બહાર જઈને ખનીજ ચોરી કરી છે. આથી, ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ તારીખ 05, ઓક્ટોબર 2024ના પત્રથી કુલ 52 લીઝ હોલ્ડરોને તેમની લીઝની તાત્કાલિક માપણી કરાવીને ડીજીપીએસ. કો-ઓર્ડિનેટ વાળા ડી.આઈ.એલ.આર.ના પ્રમાણિત નકશા 30 દિવસમાં રજૂ કરવા જણાવ્યું હતું. ​જોકે, આ પત્રને આશરે 1 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં એક પણ લીઝ ધારકે માપણી કરાવ્યાનું ધ્યાને આવ્યું નથી. ઉલટાનું, આ લીઝો આજે પણ બેરોકટોક ધમધમી રહી છે. આગેવાનોએ આક્ષેપ કર્યો કે, આ લીઝધારકોની ખનીજ ચોરીની રકમો અબજો રૂપિયાની થવા જાય છે. આ મામલે રાજ્યની સ્કોડ મારફતે તપાસ કરાવી ખનીજ ચોરીની રકમ વસૂલ કરવા અને આંખમિંચામણા કરનાર ભૂસ્તરશાસ્ત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે. ​અનુ.જાતિ સમાજના પ્રમુખનું નિવેદન અને ધમકીનો ભયજૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મુછડીયાએ જણાવ્યું હતું કે, વંથલીના આખા ગામ, માણાવદરના ખડીયા ગામ અને થાનિયાણા જેવા ગામોમાં દબાણ ખુલ્લા કરવાની બાબતમાં વહીવટી તંત્ર દ્વારા માત્ર દલિતોને જ ટાર્ગેટ કરવામાં આવે છે, જેના આધાર-પુરાવા સાથે આપવામાં આવ્યા છે. માળીયા તાલુકામાં આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અને ખાણ-ખનીજ વિભાગમાં ગેરકાયદેસર લીઝોની માપણી ન થવા જેવી તમામ બાબતોને લઈ આવેદનપત્ર અપાયું છે. આ આવેદનપત્ર અને પ્રશ્નોને લઈ તેઓ આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પણ મળીને રજૂઆત કરશે. જોકે, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:21 pm

રાજ્યમાં આ વર્ષે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે 136 લોકોનાં મોત:14 હજાર કાચા-પાકા મકાનોને નુકસાન, સરકારે અત્યાર સુધીમાં સહાય પેટે 91 કરોડ મંજૂર કર્યા

રાજ્યમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેતીપાકને માઠી અસર પહોંચી છે. આ ઉપરાંત ચોમાસાની સિઝન દરમિયાન 136 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 14 હજાર જેટલા કાચા પાકા મકાનને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મકાન અને માનવ મૃત્યુ માટે 91 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:10 pm

50 વર્ષ જૂનો માલિકી હક વિવાદ,મનપાએ મનમાની કર્યાના આક્ષેપ:64 બ્લોકની હજુ પણ માલિકી હક નથી મળ્યો, નજીકના પ્લોટમાં ટાંકા બનાવતા મનપા પર લેન્ડ ગ્રેબિંગનો આક્ષેપ

જુનાગઢ મહાનગરપાલિકા દિવસે અને દિવસે વિવાદમાં સપડાઈ જાય છે કારણ કે ક્યારેક ભ્રષ્ટાચાર તો ક્યારેક વિકાસના કામોમાં અણ આવડતના આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જુનાગઢ મહાનગર પાલિકા પર વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં 1972-73થી વસેલા 64 બ્લોકના રહીશોએ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને જૂનાગઢ મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે, 50 વર્ષ પહેલાં જમીનની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હતી અને હાઈકોર્ટનો ચુકાદો તરફેણમાં હોવા છતાં, તેમને માલિકી હક આપવામાં આવ્યા નથી અને હવે કોર્પોરેશને આ વિવાદિત જગ્યા પર બાંધકામ કરીને અતિક્રમણ કર્યું છે. મેઘાણીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના નામે રહેલી જમીન પર વર્ષ 1972-73માં એ.આઈ. અને એ.એલ.આઈ.જી. સ્કીમ હેઠળ કુલ 204 બ્લોક બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 64 બ્લોકના રહીશો આજે પણ માલિકી હક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 50 વર્ષથી ન્યાયથી વંચિત ત્રીજી પેઢી: હાઉસિંગ બોર્ડની અન્યાયી નીતિમેઘાણીનગરના રહીશ નિલેશ વેકરીયાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે સમયે હાઉસિંગ બોર્ડે જમીનની માલિકી આપવા માટે તેમની પાસેથી રૂ.5.97 લાખ જેટલી માતબર રકમ વસૂલ કરી હતી. પરંતુ આ રૂપિયા ભરવા છતાં હાઉસિંગ બોર્ડ તરફથી કોઈપણ જાતનું માલિકી હક કે મકાનના દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. આ મામલે ચાલેલા દીવાની કેસમાં હાઈકોર્ટે પણ અમારી તરફેણમાં ચુકાદો આપી હાઉસિંગ બોર્ડને અમારા હક-હિસ્સા આપવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી હાઉસિંગ બોર્ડ દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી.હક ન મળવાને કારણે અમને કલેક્ટર ઓફિસની જપ્તી(ત્યાં રહેવા જતા રહેવું) માટેના બે વખત ઓર્ડર પણ આવેલા હતા. પરંતુ જો અહીંના રહીશો એવું કરે તો ગુજરાત સરકારનું નામ બદનામ થાય તેવું હતું, એટલે અમે જપ્તી કરી નહોતી. અમને વિશ્વાસ હતો કે સરકાર ન્યાય આપશે. પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી.આ બાબત 1972ની છે. રહીશોએ પૈસા ચૂકવ્યા તે કોમન પ્લોટમાં ટાંકા બનાવ્યા: દેવી પ્રસાદમેઘાણીનગરના રહિશ દેવી પ્રસાદ ભટ્ટ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમે 1972-73માં મકાનની તમામ રકમ ભરપાઈ કરી દીધી છે. આ મામલે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી આ સબ-જ્યુડિસ મેટર છે. છતાં પણ અહીં કોર્પોરેશન દ્વારા બે મોટા પાણીના ટાંકા ખડકી દેવામાં આવ્યા છે. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં કોર્પોરેશન અહીં ટાંકા કેવી રીતે બનાવી શકે ?.અહીં રહેતા રહીશોના કોમન પ્લોટના જે રૂપિયા રહીશો દ્વારા ચૂકવવામાં આવ્યા છે, તે પ્લોટમાં રહીશોની જાણ વગર જ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને પૂર્ણતાના આરે છે. જો કોર્પોરેશન દ્વારા અહીં જે સંપ બનાવવામાં આવ્યો છે તેને લઈ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતો હોય તો તંત્ર દ્વારા એ પણ નોંધવો જોઈએ. અહીં એક મંદિર હતું, તે મંદિરને પણ કોર્ડન કરી દેવામાં આવ્યું છે. જેનાથી અમારી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. હવે અમારે મંદિરમાં જવું હોય તો પરમિશન લઈને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.અમે વિનંતી કરીએ છીએ કે જે તંત્ર દ્વારા અહીં પાણીના ટાંકાઓ બનાવવામાં આવ્યા છે, તેને પૂછવામાં આવે કે હાઉસિંગ બોર્ડ પાસેથી કોઈ મંજૂરી મેળવી છે કે નહીં. હાઉસિંગ બોર્ડના બેરાકાને અહીંના રહીશોના પ્રશ્ન પહોંચાડવામાં આવે કે શા માટે 64 બ્લોકના રહીશોને માલિકીના હકો આપવામાં આવ્યા નથી. મહાનગરપાલિકાનો બચાવ: 'કલેક્ટરના આદેશ પર નિયમ મુજબ કામગીરી'મહાનગરપાલિકાના વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ રહીશોના આક્ષેપોને રદિયો આપતા કોર્પોરેશનનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, મેઘાણીનગરમાં ઝોન નંબર 3 (વોર્ડ નંબર 14 અને 15) માં સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે સંપ અને ટાંકીઓ બનાવવામાં આવ્યા છે.જે જગ્યા પર પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે તે કોઈ પ્રાઇવેટ જગ્યા કે સંસ્થા નથી, કે કોઈ બીજો હેતુ નથી કે લેન્ડ ગ્રેબિંગની વાત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા સરકારી વિભાગ જ છે અને સંકલનમાં રહી તમામ પ્રક્રિયા નિયમો અનુસાર કરવામાં આવી છે. તેમણે સ્વીકાર્યું કે મેઘાણીનગરના અમુક રહીશોના દસ્તાવેજો અને માલિકી હક બાબતેની કોઈ કેસ ચાલતો હોય તેવું તેમના ધ્યાને છે, પરંતુ કોર્ટ મેટર હોય તો તેનો આશય અલગ છે. તેમણે જણાવ્યું કે જગ્યા ખંડેર હાલતમાં હતી અને આ સર્વે નંબરની જગ્યા કલેક્ટર દ્વારા હુકમ કરાયા બાદ મહાનગરપાલિકાને નામે કરવામાં આવેલી છે. મેઘાણીનગરના આ 64 બ્લોકના રહીશોનો 50 વર્ષ જૂનો માલિકી હકનો વિવાદ અને તેના પર મહાનગરપાલિકા દ્વારા થયેલું બાંધકામ, સરકારી તંત્રોના સંકલન અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે. રહીશો દ્વારા લેન્ડ ગ્રેબિંગનો સીધો આક્ષેપ થતા, રાજ્ય સરકારે આ મામલે વહેલી તકે દખલગીરી કરીને ન્યાય આપવો અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:10 pm

મોરબીમાં તલવારથી હુમલાના કેસમાં ચુકાદો:બે આરોપીને 10 વર્ષની સજા, મહિલાનો અંગૂઠો કાપવા બદલ કોર્ટે 50 હજાર વળતરનો આદેશ કર્યો

મોરબીમાં મહિલા પર તલવારથી હુમલો કરવાના કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બે આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે બંને આરોપીઓને 31-31 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે અને ભોગ બનનાર મહિલાને 50 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઘટના 2017માં મોરબી નજીક આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં બની હતી. ફરિયાદી રેશ્માબેન ગીરીશભાઈ વિડજા જ્યારે એક્ટિવા લઈને જઈ રહ્યા હતા, ત્યારે આરોપી ભીખા રૂપાભાઈ પરમાર અને અશોક રૂપાભાઈ પરમારે તેમને રોક્યા હતા. અશોક પરમારે રેશ્માબેનને પકડી રાખ્યા હતા, જ્યારે ભીખા પરમારે તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન, રેશ્માબેને પોતાનો ડાબો હાથ વચ્ચે નાખતા તલવાર વાગવાથી તેમનો અંગૂઠો કપાઈ ગયો હતો. આરોપીઓએ પથ્થર વડે તેમના માથામાં પણ ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલા પાછળનું કારણ એ હતું કે, ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કાંતાબેનને તેમના પતિ ભીખા પરમાર સાથે અણબનાવ હોવાથી તેઓ ફરિયાદી રેશ્માબેનના ઘરે રહેવા આવ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો. ઇજા પામેલી મહિલાએ સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં જજ પી.વી. શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો. જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કરેલી દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:04 pm

સૌરાષ્ટ્ર સિમેન્ટ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી:80 HIV/એઇડ્સ દર્દીઓને સિદ્ધીગ્રામ અને વેરાવળમાં પોષણ સહાય અપાઈ

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સુત્રાપાડા તાલુકાના સિદ્ધીગ્રામ મોરાસા ખાતે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધીગ્રામ અને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 80 HIV/એઇડ્સ પ્રભાવિત દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવામાં આવી હતી. સિદ્ધીગ્રામ સ્થિત ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરની ટીમે 40 HIV પ્રભાવિત દર્દીઓને પ્રોટીન પાવડર અને મલ્ટીવિટામિન સીરપનું દાન કર્યું હતું. આ ઉપરાંત, વેરાવળ સિવિલ હોસ્પિટલના ICTC સેલ ખાતે પણ 40 એઇડ્સ પ્રભાવિત દર્દીઓને પ્રોટીન પાવડર અને મલ્ટી વિટામિન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ એઇડ્સ સેલના ડૉ. મકવાણાને સોંપવામાં આવી હતી. આ સેવાભાવી કાર્યક્રમમાં ડૉ. વૈશાલી બોઝ, રશ્મિતા બારડ, કીર્તિસિંહ રાઠોડ, ચેતન રામ, સુનિલ બૈરવા અને મુકેશ રાઠોડ સહિતના કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. સૌરાષ્ટ્ર સિમેન્ટ સિદ્ધીગ્રામ દ્વારા WHO (વિશ્વ આરોગ્ય સંગઠન)ની માર્ગદર્શિકા હેઠળ HIV/એઇડ્સ વિષયક જનજાગૃતિ ફેલાવવા માટે માહિતીપ્રદ સ્કીટ અને પોસ્ટર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ્ય HIV/એઇડ્સ પ્રત્યે સમાજમાં રહેલી અસમાનતા દૂર કરવાનો અને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા વધારવાનો સકારાત્મક સંદેશ આપવાનો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:03 pm

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની આંગણવાડી મુલાકાત:મોટીઝરી, નાનીઝરીમાં પોષણ ટ્રેકર, સેવાઓની વિગતવાર તપાસ કરી

દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી સેજા-2 આંગણવાડી કેન્દ્રની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકર અને તેડાગર હાજર હતા. મુલાકાત સમયે, પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓ ઉમેરાયા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. બાળકોને થીમ આધારિત પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી હતી. તેડાગર દ્વારા સમયસર અને ગુણવત્તાયુક્ત મેનુ મુજબ ભોજન તૈયાર કરાયું હતું, જેમાં સવારના નાસ્તામાં શીરો અને બપોરના ભોજનમાં દાળ, ભાત અને શાકનો સમાવેશ થતો હતો. આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ HCM (હોટ કૂક્ડ મીલ) સ્ટોક અને THR (ટેક હોમ રેશન) સ્ટોકની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીએ વધુમાં વધુ લાભાર્થીઓને પોષણ ટ્રેકરમાં ઉમેરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત, ઈરાબેન ચૌહાણે નાનીઝરી નિશાળાના આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અહીં કાર્યકર દ્વારા પોષણ ટ્રેકરમાં દાખલ કરાયેલા લાભાર્થીઓનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓના ઘરે જઈને ગૃહ મુલાકાત લેવામાં આવી હતી અને તેમને ટેક હોમ રેશન (THR) વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આ સમગ્ર મુલાકાતનો હેતુ આંગણવાડી સેવાઓની ગુણવત્તા, પોષણ વ્યવસ્થા અને લાભાર્થીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:03 pm

સુરતમાં દોડતી કારમાં ભીષણ આગ:પુણાના સીતાનગર બ્રિજ પાસે સળગતી કાર જોઈ અફરાતફરીનો માહોલ, ચાલકનો આબાદ બચાવ

સુરતના પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રોડ પર દોડી રહેલી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, પુણા વિસ્તારમાં સીતાનગર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠવા લાગી હતી. કારમાં આગ લાગવાની જાણ થતાં જ ચાલક ગભરાયા વગર તુરંત કારને રોકીને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ચાલુ રસ્તા પર દોડતી કારમાં આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો અને વાહનચાલકો ડરના માર્યા દૂર ખસી ગયા હતા. લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને લોખંડના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી શકી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે. આ ઘટનાને પગલે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી, જેને પોલીસે વ્યવસ્થિત કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:02 pm

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર:જાન્યુઆરી 2026થી શરૂઆત, મે મહિનામાં ઇન્ટર્નશિપ અને પરિણામની તારીખ જાહેર

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2026 માટેનું તમામ કોર્સનો એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. UGCના આદેશ બાદ સમયસર પરીક્ષા યોજાય અને પરિણામ પણ જાહેર થઈ જાય તે માટે ટેનટીટીવ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા ક્યારે યોજાશે અને પરિણામ ક્યારે જાહેર થશે તે માટેની તારીખ પણ એકેડેમિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે પણ આ એકેડેમી કેલેન્ડર મદદરૂપ થવાનું છે. GTU નું એકેડેમિક કેલેન્ડર જાહેરUGC દ્વારા થોડા દિવસ પહેલા દેશની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. નિયત સમયમાં પરીક્ષા યોજવા અને ડિગ્રીઓમાં આપવામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન કરવા તમામ યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે. કારણ કે ઘણી એવી યુનિવર્સિટી હતી કે જે નિયમ સમયમાં પરીક્ષા યોજતી નહતી અને ડિગ્રી આપવામાં પણ વિલંબ કરતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હતા. જેથી પરિપત્ર જાહેર કરી UGC એ નિયમોનું પાલન કરવા સૂચના આપી છે, તેમજ નિયમોનું પાલન નહીં કરાય તો કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જેથી હવે યુનિવર્સિટીઓ એકેડેમીક કેલેન્ડર જાહેર કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખી રહી છે. 2026 વર્ષ માટે પરીક્ષા અને પરિણામની તારીખ જાહેરગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 2026 માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, તેમાં UGC ના આદેશોનું પાલન કરવામાં આવ્યું છે. સમયસર પરીક્ષા યોજાય તે માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ ટેન્ટીટીવ તારીખ જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે પરીક્ષા યોજાઈ જાય તો વિદ્યાર્થીઓને પણ ઘણો ફાયદો થઈ શકે છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 90 જેટલા કોર્સનું એકેડેમી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. મે મહિનામાં ઇન્ટર્નશિપ યોજાશેજે પહેલી જાન્યુઆરી 2026થી શરૂઆત થવાની છે. તેમજ ડોક્ટર ઓફ ફાર્મસી પોસ્ટ-બેકલોરિયેટ કોર્સના વિદ્યાર્થીઓની મે મહિનામાં ઇન્ટર્નશિપ યોજાશે. જો કોઈ કારણોસર શૈક્ષણિક સત્રમાં શિક્ષણ દિવસોની સંખ્યા 90 દિવસથી ઓછી થઈ જાય, તો વધારાના વર્ગોની વ્યવસ્થા કરીને નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી સંસ્થાને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:01 pm

Editor's View: ઇમરાનને જેલમાં પતાવી દીધા?:ખૈબરના પઠાણો વીફર્યા, ઇસ્લામાબાદ પર ચડાઇનું અલ્ટિમેટમ, મુનીરે પાણી પહેલાં પાળ બાંધી

એક દેશ, જેની પાસે પરમાણુ બોમ્બ છે, પણ પોતાના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જીવે છે કે નહીં તે જાણવાની તેમના લોકોની હિંમત નથી. આ સવાલનો જવાબ શોધવા ગયેલા એક યુવા મુખ્યમંત્રીને જે રીતે રસ્તા પર ઢસડીને મારવામાં આવ્યા, તેમના કપડાં ફાડી નાખવામાં આવ્યા, તે દ્રશ્યો જોઈને દુનિયા સ્તબ્ધ છે. જ્યારે લોકશાહીના ચૂંટાયેલા પ્રતિનિધિને આર્મીના આદેશ પર પોલીસ રસ્તા પર ફટકારે, ત્યારે સમજી લેવું કે આ ખાલી કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પણ 'ગૃહયુદ્ધ' ની શરૂઆત સમાન છે. શું પાકિસ્તાન ફરી એકવાર 1971ના ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યું છે? આજે આપણે વાત કરીશું પાડોશી દેશ પાકિસ્તાનમાં ચાલી રહેલા એવા હાઈવોલ્ટેજ ડ્રામા વિશે જેણે ઈસ્લામાબાદથી લઈને વિશ્વ સુધી ચિંતા જગાવી છે. આ લડાઈ હવે ઈમરાન ખાનની પાર્ટી અને સરકાર વચ્ચેની નથી આ જંગ હવે ઇસ્લામાબાદના શાસકો અને ખૈબર પખ્તુનખ્વાના પઠાણો વચ્ચેનો જંગ બની ગઈ છે. હકીકત શું છે? પાકિસ્તાની સરકાર કેમ સાચી વાત બહાર આવવા દેતી નથી? સવાલ ઘણા છે પણ આનો જવાબ માત્ર મુનીર પાસે જ છે. નમસ્કાર 72 વર્ષના ઈમરાન ખાનને ભ્રષ્ટાચારના કેસમાં 14 વર્ષની સજા થઈ છે. 6 ઓગસ્ટ 2023થી પાકિસ્તાનના રાવલપિંડીની અડિયાલા જેલમાં કેદી નંબર 804 ઈમરાન ખાન સજા કાપી રહ્યા છે. તેના પર 150થી વધારે કેસ નોંધાયેલા છે. ઈમરાન ખાનના દીકરા કાસીમ ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે સરકાર તેના પિતા જીવે છે, તેવા પુરાવા અમને આપે. ઈમરાન ખાન 848 દિવસથી જેલમાં છે. છેલ્લા દોઢ મહિનાથી તેમને ડેથ સેલમાં એકલા રાખવામાં આવ્યા છે. આખી વાતની શરૂઆત થાય છે એક ભયાનક અફવા અને કોર્ટના ઓર્ડરની અવગણનાથી. થયું કંઈક એવું કે ગયા મહિનાના અંતે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એક ચર્ચાએ જોર પકડ્યું કે શું ઈમરાન ખાન હવે આ દુનિયામાં નથી? શું સરકારે તેમને પતાવી દીધા છે? ઈમરાન ખાનના દીકરા કાસીમ ખાને આરોપ લગાવ્યો છે કે તેના પિતાને ફોન પર વાત કરવા દેતા નથી ને મળવા પણ દેવાતા નથી. ઈમરાન ખાનની બહેનો મુનીરને હીટલર ગણાવી રહી છે. આના પર ઈમરાન ખાનના લીગલ એડવાઈઝર એડવોકેટ ફૈસલ ચૌધરીને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ઈમરાન ખાન જીવે છે કે નહીં ત્યારે તેમણે કહ્યું. ઇમરાન ખાન રાજકીય રીતે અજોડ છે. સરકાર તેમની લોકપ્રિયતાથી ડરે છે. તેેેમના ફોટો-વીડિયો મીડિયામાં પ્રસારિત થઈ શકતા નથી. વિપક્ષી નેતા સામે આ વર્તન સારું નથી. વકીલ પણ નથી મળી શકતા, પરિવાર પણ નહિ અત્યારે પાકિસ્તાનમાં અદાલતથી પણ તાકાતવર કોઈ માણસ હોય તો એ છે અબ્દુલ ગફુર અંજુમ. તે અત્યારે રાવલપિંડીની અડિયાલા જેલના સુપરિટેન્ડેન્ટ છે. 4 નવેમ્બરથી ઈમરાન ખાનને પરિવારજનો કે વકીલ નથી મળી શક્યા. જેલર અબ્દુલ ગફુર અંજુમ કહે છે કે અદાલતનો આદેશ શિરોમાન્ય પણ હું ઈમરાન ખાન સાથે મુલાકાત નહિ કરવા દઉં. ભલે તમે જેલની બહાર ઊભા રહીને બૂમો પાડો કે આખી રાત જેલ બહાર ઠંડીમાં ધરણાં કરો. મને કોઈ ફેર પડતો નથી. શરીફ સરકારે ય હાથ ઊંચા કરી દીધા ઈમરાન ખાનની બહેનો, તેના પુત્રએ શરીફ સરકારના દરબારમાં ધા નાખી. પણ શરીફ સરકારના અધિકારીએ કહી દીધું કે, એમાં અમે ય શું કરી શકીએં? આ તો જેલરનો નિર્ણય છે. જેલર નથી ઈચ્છતો કે ઈમરાન ખાન સાથે મુલાકાત થાય તો આપણે તેના આદેશનું પાલન કરવું જોઈએ. પાકિસ્તાની સરકારના એક મંત્રીએ તો એવું કહી દીધું કે, જેલર નથી મળવા દેતા તો નથી મળવા દેતા... એમાં વાતનું વતેસર કેમ કરાય છે? શરીફ એટલું તો માને છે કે વાંદરાને દારૂ ન પવાય... 27 નવેમ્બરે મુનીરનો આર્મી ચીફ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને 29 નવેમ્બર સુધીમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની સહી સાથેનું નોટિફિકેશન બહાર પાડવાનું હતું. નોટિફિકેશન એવું હતું કે આસીમ મુનીર હવે CDS એટલે પાકિસ્તાની સેનાની ત્રણેય પાંખના પડા ગણાશે. નોટિફિકેશન તૈયાર થઈ ગયું. શરીફની સહી બાકી હતી ને 26 નવેમ્બરે કોઈને કહ્યા વગર બેહરિન જતા રહ્યા. ત્યાંથી 27 નવેમ્બરે લંડન જતા રહ્યા. પાકિસ્તાની મીડિયા માને છે કે શરીફ ઈચ્છે છે કે મુનીર CDS ન બને. એટલે તે નોટિફિકેશનમાં સહી કરવાથી ભાગી રહ્યા છે. શરીફ જાણે છે કે મુનીર સર્વશક્તિમાન બની જશે તો કોઈને પણ જેલમાં નાખી દેશે. એટલે તે વિદેશ જઈને ખેલ પાડી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સની હ્યુમન રાઈટ એજન્સી પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે કે મુનીરના હાથમાં બધો પાવર આવી જશે તો બરાબર નહિ થાય. 27 નવેમ્બરની ઘટના જ્યારે લોકશાહીને રસ્તા પર માર પડ્યો જ્યારે કોર્ટના ઓર્ડરનું પાલન ન થયું અને ઈમરાનના મોતના સમાચાર વાયુવેગે ફેલાયા, વિરોધ થયો તો 26 નવેમ્બરે અડિયાલા જેલ બહાર કરફ્યુ લગાવી દીધો. 27 નવેમ્બર, 2025ના રોજ ખૈબર પખ્તુનખ્વાહ (KP) ના યુવા મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી ખુદ સત્ય જાણવા રાવલપિંડી પહોંચ્યા…. તેઓ એક બંધારણીય હોદ્દા પર હતા, છતાં જે થયું તે પાકિસ્તાનની લોકશાહી માટે કાળો દિવસ હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સીધા સેનાના આદેશથી પોલીસે મુખ્યમંત્રીને ઘેરી લીધા. તેમને ખાલી રોકવામાં ન આવ્યા, પણ ઢોર માર મારવામાં આવ્યો અને જાહેરમાં તેમના કપડાં ફાડી નાખવામાં આવ્યા. આ ઘટના પછી CM આફ્રિદીએ સરકારને ખુલ્લી ચીમકી આપી છે કે જો ઈમરાન ખાનની સલામતી વિશે સ્પષ્ટતા નહીં થાય, તો તેઓ લાખો પઠાણોને લઈને ઈસ્લામાબાદ પર ચડાઈ કરશે. આફ્રિદીએ મુનીરનું નામ લઈને કહ્યું કે, દેશની સ્થિતિ બગાડવામાં આસીમ મુનીર જ જવાબદાર છે. તે પાકિસ્તાની જનતા સાથે વિશ્વાસઘાત કરે છે. કોણ છે સોહેલ આફ્રિદી? 'ગવર્નર રાજ' અને 'ડ્રગ્સ'નો ખેલ પોતાના જ મુખ્યમંત્રીને માર્યા બાદ, પાકિસ્તાન PM શાહબાઝ શરીફની સરકાર અને સેનાએ હવે ડેમેજ કંટ્રોલના નામે મોટો દાવ ખેલ્યો છે. તેઓ KP પ્રાંતમાં આર્ટિકલ 232 અને 234 હેઠળ 'ગવર્નર રાજ' લાદવાની તૈયારી કરી રહ્યા છે. ખાલી એટલું જ નહીં, મુખ્યમંત્રીની ઈમેજ ખરાબ કરવા, ફંડિગના રસ્તા બંધ કરવા તેમના પર ડ્રગ્સ માફિયા હોવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આના પર પાકિસ્તાનના રાજ્યકક્ષાના કાયદા મંત્રી અકીલ મલિકે કહ્યું: ખૈબર પખ્તુનખ્વાહના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી વહીવટમાં નિષ્ફળ ગયા છે. CMની પોતાની જમીનમાં અફીણની ખેતી થાય છે અને તેઓ ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા છે. હવે અહીં ગવર્નર રાજ લાદવા શરીફ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ઈતિહાસનું પુનરાવર્તન: ભુટ્ટોથી આફ્રિદી સુધી પાકિસ્તાનમાં જનાદેશનું અપમાન કરવું એ સેનાનો જૂનો શોખ છે. ઈતિહાસના પાના પલટાવો તો લોહીના ડાઘા સ્પષ્ટ દેખાશે: આ હાલ 1971ના 'ઢાકા ફોલ' (પૂર્ણ પાકિસ્તાનથી બાંગ્લાદેશ નિર્માણ) ની યાદ અપાવે છે. ત્યારે પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) ના જનમતને કચડવામાં આવ્યો હતો, આજે ખૈબર પખ્તુનખ્વાહના પઠાણોના જનમતને બૂટ નીચે કચડવામાં આવી રહ્યો છે. જે વિસ્તારમાં આ આગ લાગી છે તે ખૈબર પખ્તુનખ્વાહ (KP) શું છે? આ લડાઈની અસર ખાલી રાજકારણ પૂરતી સીમિત નથી. KP માં અશાંતિને કારણે અફઘાનિસ્તાન બોર્ડર બંધ છે. પરિણામે ટામેટા, ડુંગળી અને લોટના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારી દર 6.2% ને પાર ગયો છે. એક દિવસની હડતાલ પાકિસ્તાનને અબજો રૂપિયાનું નુકસાન કરી રહી છે. અહીં એક ચાઈના કનેક્શન પણ સમજવા જેવું છે. KP એ ચીન-પાકિસ્તાન કોરિડોર (CPEC) નો મુખ્ય રસ્તો અને દરવાજો છે. સેના 'ગવર્નર રાજ' લાદીને માત્ર ઈમરાનને રોકવા નથી માંગતી, પણ ચીનને ખુશ કરવા આ રસ્તો પોતાના કંટ્રોલમાં લેવા માંગે છે. CM પર હુમલો એ સાબિત કરે છે કે પાકિસ્તાનમાં 'લોકશાહી' માત્ર નામની છે. જનરલ આસિમ મુનીરનું 'હાર્ડ સ્ટેટ' (લોકશાહીના કપડાંમાં લશ્કરી શાસન) મોડેલ દુનિયા સામે છતું થઈ ગયું છે. પાકિસ્તાન સેના પ્રમુખનું નામ લઈને પડકાર ફેંકવો એટલે પાકિસ્તાનમાં સીધું મોતને આમંત્રણ, અને CM સોહેલ આફ્રિદીએ એ જ કર્યું છે. શું પાકિસ્તાન તૂટશે? હવે સવાલ એ છે કે આગળ શું? મીડિયા રિપોર્ટ્સ મુજબ KPમાં ગવર્નર શાસન લાગી શકે છે. જો રાષ્ટ્રપતિ ગવર્નર રાજ પર સહી કરશે, તો KP એસેમ્બલીનો પાવર સીઝ થશે. પણ ગરમ મીજાજી પઠાણો શાંત બેસશે નહીં. જનતા રસ્તા પર ઉતરશે, હિંસક ઘર્ષણ થશે અને કદાચ ડિજિટલ માર્શલ લો લગાવીને ઈન્ટરનેટ પણ બંધ થશે. અને છેલ્લે….. જે અડિયાલા જેલમાં ઈમરાન ખાન કેદ છે તે જેલમાં આમ તો 2 હજાર કેદીઓ રહી શકે તેવી વ્યવસ્થા છે. પણ અહિયા 6 હજારથી વધારે કેદીઓને રાખવામાં આવ્યા છે. આ જ જેલમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપી દેવામાં આવી હતી. આ જ જેલમાં નવાઝ શરીફ, યુસુફ રઝા ગિલાની અને શાહીદ ખકાન અબ્બાસી જેવા પૂ્વ વડાપ્રધાનોને રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારી અને વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ આ જ જેલમાં રહી ચૂક્યા છે. અને 1971નો ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ઈસ્લામાબાદે પ્રાંતોને કે તેમના લોકોના અવાજને દબાવવાની કોશિશ કરી છે, ત્યારે દેશ તૂટ્યો છે. આ વખતે પણ ખૈબર પખ્તુનખ્વાના પહાડોમાં લાગેલી આ આગ કદાચ પાકિસ્તાનના નકશાને ફરીથી બદલી નાખે તો નવાઈ નહીં. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી-સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 8:00 pm

લૂંટનો મેસેજ ખોટો નિકળ્યો:વડોદરામાં બેંક ઓફ બરોડાના એટીએમમાં લૂંટ થઇ હોવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ, પહોંચી તો ગ્રાહકે જમા કરાવેલા રૂપિયા બહાર આવી ગયા હોવાનું ખુલ્યું

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં રાત્રિના સમયે લૂંટ થઈ હોવાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ, બેન્ક અને એફએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી, ત્યારે એક ગ્રાહક ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવવા માટે આવ્યો હતો. આ રોકડા રૂપિયા ગ્રાહકને ગયા બાદ બહાર આવી ગયા હતા અને તમામ નોટો એટીએમમાં વિખેરાઈ ગઈ હતી તેવું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે હાલ રૂપિયા કબજે ગ્રાહકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ગ્રાહક રૂપિયા ઉપાડવા માટે ગયો હતો. ત્યારે એટીએમમાં રૂપિયા વિખેરાયેલા પડ્યા હતા. જેથી આ ગ્રાહકે એટીએમ ખાતે લૂંટ તથા ચોરી થઈ હોવાનું સમજી પોલીસે તથા બેંક ઓફ બરોડાના અધિકારીઓને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસે, બીઓબી ના અધિકારીઓ તેમજ એફ એસ એલની ટીમ પર દોડી આવી હતી. ત્યારબાદ એટીએમમાં લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે એક ગ્રાહક ડિપોઝીટ મશીનમાં રૂપિયા ક્રેડિટ કરાવવા માટે આવ્યો હતો ત્યારે ગ્રાહકના ગયા બાદ તેના રૂપિયા સંજોગોવસાત પરત બહાર આવ્યા હતા અને એટીએમમાં વિખેરાઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. હાલમાં રૂપિયા પોલીસ દ્વારા કબ્જે કરી ગ્રાહકને શોધી તેને પરત આપવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ બેંક ઓફ બરોડાના ટેક્નિકલ સ્ટાફ દ્વારા જણાવ્યા મુજબ મશીનમાં ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ હતી. જેથી મશીન ખુલ્લું હતું. દરમીયાન એક વૃધ્ધ રૂપિયા જમા કરાવવા માટે આવ્યા હતા અને ત્યાજ પડી જતા તેમની નોટો પડેલી હતી. સીસીટીવી કેમેરામાં આ વ્યક્તિ જોવા મળી રહ્યો છે. જેની શોધખોળ શરૂ કરી છે. જોકે, એટીએમમાંથી કઈ ગયું હોય તેવી વિગત હજુ મળી નથી.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:59 pm

સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ પૂર્ણ:રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ 1995માં રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું

આજરોજ સોમનાથ મંદિરના વર્તમાન સ્વરૂપની સંપૂર્ણતાને 30 વર્ષ પૂર્ણ થયા છે. સ્વતંત્રતા બાદ ભારતીય અસ્મિતાના પ્રતીક સમા આ મંદિરના પુનર્નિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો 30મો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. દેશની સ્વતંત્રતા પછી, રત્નાકર સાગર કિનારે ખંડિત અવસ્થામાં રહેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. આ સંકલ્પ સમય જતાં એક વટવૃક્ષ બન્યો. 11 મે 1951ના રોજ માત્ર ગર્ભગૃહનું નિર્માણ થયું અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારબાદ નાગર સ્થાપત્ય શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિર નિર્માણ કરવાનું કાર્ય શરૂ થયું. ટ્રસ્ટ દ્વારા શિખર, સભામંડપ અને મંદિરના આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો. આમ, કુલ 44 વર્ષે આજનું વર્તમાન સોમનાથ મંદિર સંપૂર્ણ થયું. 1 ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા દ્વારા નૃત્ય મંડપનું કળશારોપણ કરીને સંપૂર્ણ થયેલું સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. તે પુણ્ય ક્ષણના સ્મરણાર્થે દર વર્ષે 1 ડિસેમ્બરને સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. પૂજારીઓ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા પણ કરવામાં આવી. આ ઉપરાંત, સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:57 pm

ગાંધીનગરમાં 24 કલાકમાં બે અકસ્માતમાં ત્રણના મોત:ચ-0 સર્કલ અને વલાદ બ્રિજ પર ટ્રકની પાછળ કાર-બાઈક ઘુસી જતાં બે યુવાનો મોતને ભેટ્યા

ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં માર્ગ અકસ્માતની બે ગમખ્વાર ઘટનાઓ બની છે. જેમાં બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને અકસ્માતોમાં પુરપાટ ઝડપે દોડતા વાહનો ટ્રકની પાછળ ઘૂસી જતાં આ કરુણ ઘટનાઓ સર્જાઈ હતી. જેમાં અન્ય બે યુવાનો ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે સેકટર 7 અને ડભોડા પોલીસે ગુનો નોધી કાનુની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં માર્ગ અકસ્માતની બે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બે યુવાનોનું અકાળે મોત નિપજ્યું છે. પુરપાટ ઝડપે દોડતા વાહનો ટ્રકની પાછળ ઘૂસી ગયા પ્રથમ ઘટનામાં ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં રહીને ખાનગી નોકરી કરતા રાજસ્થાનના 21 વર્ષીય શુભમ મૂલચંદ જાંગીડનું કાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. ગઈકાલે રાત્રે આશરે સવા એક વાગે શુભમ તેના મિત્ર આનંદરાજ ઠાકુર (રહે. રાંદેસણ)ની વેગેનાર કારમાં ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ઘ-0 બ્રિજ પસાર કર્યા બાદ ચ-0 સર્કલ નજીક પહોંચતા કાર ચાલક આનંદ ઠાકુરે બેદરકારીથી કાર ચલાવી અને રોડની સાઈડમાં ઊભેલી આઇસર ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈઆ અકસ્માતમાં બાજુની સીટ પર બેઠેલા શુભમને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કાર ચલાવનાર આનંદને ગંભીર ઈજા પહોંચતા તેને પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે શુભમના મામા ભગીરથભાઈ પ્રહલાદભાઈ જાંગીડએ કાર ચાલક આનંદ ઠાકુર વિરુદ્ધ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ સેકટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચો-મોટા ચિલોડા સર્કલ નજીક રોડ ક્રોસ કરતાં વૃદ્ધને ટ્રકે કચડ્યા બાઈક વેફર્સ ભરેલા કન્ટેનરની પાછળ પૂરઝડપે ઘૂસી ગયુંજ્યારે અન્ય એક અકસ્માત આજે વલાદ બ્રિજ પર બાઈક-કન્ટેનર વચ્ચે સર્જાયો હતો. જેમાં થરાદના 27 વર્ષીય આનંદ પુરોહિત નામના યુવાનનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં બાઈક આગળ જતા કન્ટેનરની પાછળ ઘૂસી જતાં તેનું યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું. થરાદના યુવકનું મોત, બાઈક પર પાછળ બેસેલાને ઈજાપોલીસ સૂત્રોના કહેવા મુજબ આનંદ પુરોહિત અને તેમની સાથેનો અન્ય એક યુવાન ગાંધીનગર તાલુકાના પાટિયા ગામે રહેતી પોતાની બહેનને મળવા માટે આવ્યા હતા. બંને જણા વલાદ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક આગળ જઈ રહેલા વેફર્સ ભરેલા કન્ટેનરની પાછળ પૂરઝડપે ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં આનંદકુમાર પુરોહિતનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પાછળ સવાર યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 24 કલાકમાં વૃદ્ધ સહિત ત્રણનાં મોતઉલ્લેખનીય છેકે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ સહિત ત્રણ જણાના મોત નીપજ્યા છે. ગઈકાલે રાતે મોટા ચિલોડા સર્કલ પર ભારે ટ્રાફિક જામથી બચવા યુ-ટર્ન લેવા માટે રસ્તો બદલવો અમદાવાદના એક નિવૃત્ત વૃદ્ધ માટે જીવલેણ સાબિત થયો હતો. મધરાતે મહેસાણાથી બે ભાઈઓ સાથે કારમાં પરત ફરી રહેલા 70 વર્ષીય લક્ષ્મણભાઈ પટેલનું આઈવા ટ્રકની ટક્કરે કમકમાટીભર્યું મોત થયું હતું. આમ છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ માર્ગ અકસ્માતોથી ગાંધીનગરના માર્ગો રક્તરંજિત થયા છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:54 pm

ચોરાયેલ બાઈક સાથે એક શખ્સને મહેસાણા LCBએ દબોચ્યો:14 દિવસ પહેલાં અમદાવાદના ચાણક્યપુરીમાંથી બાઈક ચોરી હતી

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આરોપી પાસેથી ચોરીનું બજાજ પલ્સર મોટરસાયકલ અને એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદથી ચોરાયેલ બાઈક સાથે એક શખ્સ મહેસાણામાં ઝડપાયોમહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટિમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન PC રાજેન્દ્રસિંહ અને જસ્મીનકુમારને સંયુક્ત રીતે ખાનગી રાહે હકીકત મળી કે મેહંદી કલરનો શર્ટ અને વાદળી જીન્સ પેન્ટ પહેરેલો એક શખ્સ બજાજ કંપનીનું પલ્સર મોટરસાયકલ લઈ કલોલથી મહેસાણા તરફ આવી રહ્યો છે અને તેનું મોટરસાયકલ શંકાસ્પદ છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. હકીકત મુજબનો ઇસમ મોટરસાયકલ લઈ આવતા પોલીસે તેને રોક્યો હતો. મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતાં ઇસમ કોઈ ચોક્કસ હકીકત જણાવી શક્યો ન હતો અને ગલ્લાતલ્લા કરતો હતો, જેથી મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનું જણાઈ આવ્યું હતું. 14 દિવસ પહેલાં અમદાવાદના ચાણક્યપુરીમાંથી બાઈક ચોરી હતીપકડાયેલા ઇસમની સઘન પૂછપરછમાં તેણે આશરે 14 દિવસ પહેલાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પુરુષોત્તમ સોસાયટીના ગેટ નજીક, બજરંગ ફ્લોર પાસેથી રાતના 1 થી 2 વાગ્યાની આસપાસ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મોટરસાયકલ બાબતે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બજાજ કંપનીનું પલ્સર જપ્તસમગ્ર કેસમાં પોલીસે કાન્તીલાલ ઉર્ફે કલ્પેશ રમેશલાલ સુંવારા રહે. અમદાવાદ, ચાંદોલીયા તળાવ નજીક,તા.જિ. અમદાવાદ (મૂળ રહે. શિવગંજ, તા.જિ. શિહોરી, રાજસ્થાન) ઝડપયો હતો પોલીસે બજાજ કંપનીનું પલ્સર મોટરસાયકલ કિ.રૂ. 40,000 મોબાઈલ નંગ-1 કિ.રૂ. 5,000 મળો કુલ 45,000 નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો આરોપીને એલસીબીએ દબોચ્યોપોલીસે આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલો મોબાઈલ અને મોટરસાયકલ BNSS કલમ-106 મુજબ કબજે કર્યા છે. આરોપી કાન્તીલાલ ઉર્ફે કલ્પેશ સુંવારાને BNSS કલમ-35(1)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:45 pm

ગૌલોકધામ તીર્થ ખાતે ગીતા જયંતિની ઉજવણી:સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતા પૂજન અને ઋષિકુમારો દ્વારા પાઠ

આજરોજ માર્ગશીર્ષ શુક્લ એકાદશી, એટલે કે મોક્ષદા એકાદશીના શુભ અવસરે, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌલોકધામ તીર્થ ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી. સનાતન ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રાદુર્ભાવ આ તિથિએ થયો હોવાથી આ દિવસનું વિશેષ ધાર્મિક અને તાત્વિક મહત્ત્વ છે. દ્વાપર યુગમાં કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો દિવ્ય ઉપદેશ આપ્યો હતો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ ઉપદેશો આજે પણ માનવજીવનને નિરાશા, ક્રોધ અને અહંકાર જેવી નકારાત્મક ભાવનાઓમાંથી મુક્ત કરી નિષ્કામ કર્મના માર્ગે દોરી જાય છે. ગીતા જયંતિના આ પાવન અવસરે ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમન સ્થળ સમાન ગૌલોકધામ તીર્થ ખાતે વિશેષ આયોજન કરાયું હતું. અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયોના શ્લોકોથી અંકિત ૧૮ સ્તંભો પર નિર્મિત ભવ્ય ગીતા મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો તેમજ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયોના શ્લોકોનું સામૂહિક અને સંપૂર્ણ પાઠનું પઠન કરવામાં આવ્યું. આ પઠનને કારણે સમગ્ર પરિસર આધ્યાત્મિક ઊર્જાથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:43 pm

રાજકોટ સમાચાર:રાજકોટમાં માનસિક બીમારી પીડિત સફાઈ કામદારના વારસદારને નોકરી અપાવવા કામદાર યુનિયન મેદાને

રાજકોટ મનપાના કાયમી સફાઈ કામદાર વર્ષાબેન મનસુખભાઈ વાઘેલા (રજી. નંબર 1396) છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીના કારણે કાર્ય કરવા અસમર્થ છે, છતાં પાલિકાના તંત્ર દ્વારા તેમના પ્રત્યે અમાનવીય વલણ અપનાવવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ કામદાર યુનિયને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે, 5 વર્ષ કરતાં વધુ સમયથી વારસદારને નોકરી આપવાની ફાઇલ પેન્ડિંગ છે. આ દયનીય સ્થિતિમાં પણ માનસિક અસ્વસ્થતા ધરાવતા વર્ષાબેનને દરરોજ બાયોમેટ્રિક હાજરી પૂરવા માટે આવવું પડે છે, જે અત્યંત દુઃખદ છે. યુનિયન પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું કે, વર્ષાબેન 1/7/1993થી અવિરત સફાઈની સેવા આપી રહ્યા છે અને આખી જિંદગી શહેરને સ્વચ્છ રાખવામાં ખર્ચાઈ ગઈ હોય આજે તેઓ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. વારસદારને નોકરી આપવા માટે તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવા છતાં, તંત્ર દ્વારા આજ સુધી તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી, અને ફાઈલો ધૂળ ખાઈ રહી છે. તંત્રનું આ વલણ નિર્દય તેમજ જાડી ચામડીવાળું છે, ત્યારે સંબંધિત અધિકારીઓ તાત્કાલિક ધોરણે વર્ષાબેનના વારસદારને નોકરી મંજૂર કરીને તેમને ન્યાય આપે. તેમજ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ અમાનવીય લાપરવાહી ચાલુ રાખવામાં આવશે, તો રાજકોટ કામદાર યુનિયન દ્વારા મહાનગર પાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રેફ્યુજી કોલોનીના ક્વાર્ટરોના દસ્તાવેજ બંધ થતાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત રાજકોટ શહેરના વોર્ડ નં. 3 માં આવેલી રેફ્યુજી કોલોની (સિંધી કોલોની) તરીકે ઓળખાતા ક્વાર્ટરોના દસ્તાવેજની નોંધણી તંત્ર દ્વારા છેલ્લા 2.5 વર્ષથી અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને અશોકસિંહ વાઘેલાની આગેવાની હેઠળ રહીશોએ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, કોઈ નોટિસ આપ્યા વિના દસ્તાવેજ નોંધણી બંધ થવાના કારણે ક્વાર્ટર વેચવા ઈચ્છતા મિલકત ધારકોની હાલત કફોડી બની છે અને તેમને સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને વેચાણ કરવાની ફરજ પડી રહી છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે રેફ્યુજી તરીકે આવેલા પરિવારોને 99 વર્ષની લીઝ પર ફાળવવામાં આવેલા આ મકાનોની લીઝ રદ કરીને ત્યારબાદ દસ્તાવેજ નોંધણીની અમલવારી શરૂ કરવામાં આવી હતી, જે અચાનક બંધ કરાતાં આર્થિક અને સામાજિક વ્યવહારો અટકી પડ્યા છે. કોલોનીમાં આશરે 267 ક્વાર્ટરો આવેલા છે અને 5000 જેટલા લોકો વસવાટ કરે છે. ત્યારે આગેવાનોએ કલેક્ટર પાસે તાત્કાલિક આ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ લાવવાની માંગ કરી છે. હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો, 1 માસમાં 1,22,510 મુસાફરો નોંધાયા રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિન્ટર શિડ્યુલના પ્રારંભ સાથે એર ફ્રિકવન્સી વધતા મુસાફરોની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે. નવેમ્બર માસમાં કુલ 1,22,510 મુસાફરો નોંધાયા હતા, જેમાં 64,092 મુસાફરોનું આગમન અને 58,418 મુસાફરોનું પ્રસ્થાન સામેલ છે. એક માસમાં 363 ફ્લાઈટ્સનું સંચાલન થયું હતું. ઓક્ટોબરમાં 1,04,242 મુસાફરોની તુલનાએ ગત નવેમ્બરમાં 18,268 મુસાફરોનો વધારો થયો છે. હાલ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા અને પુણે સહિતની સીધી હવાઈ સેવા ઉપલબ્ધ છે. હવાઈ સેવાના વધારાને કારણે સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ મળી છે. દ્વારકા, સોમનાથ, સાસણ જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે પણ મોટી સંખ્યામાં યાત્રિકો રાજકોટ એરપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે. ડેઈલી સરેરાશ 12 થી 13 ફ્લાઈટ્સ લેન્ડિંગ-ટેક ઓફ થતા ટર્મિનલ ધમધમી રહ્યું છે અને સરેરાશ 4000થી વધુ મુસાફરો નોંધાઈ રહ્યા છે. ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં ગીતાજયંતીની ઉજવણી, 111 ભાવિકો દ્વારા સામૂહિક સંપૂર્ણગીતાપાઠ કરાયા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા આજે છોટી કાશી જામનગરમાં 75 વર્ષો પૂર્વે બ્રહ્મલીન ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજે શરૂ કરેલી ગીતાજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગીતા વિદ્યાલય સ્વરૂપે ગૂંજતા ગીતાના નાદને આગળ ધપાવતા, રાજકોટના જંકશન પ્લોટ પાસે સ્થિત ગીતા વિદ્યાલય ટ્રસ્ટ-ગીતા મંદિરમાં ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સાંજે 4:00 થી 7:30 દરમ્યાન આયોજિત આ કાર્યક્રમમાં ભગવદ્દગીતા અને શ્રીકૃષ્ણ પરમાત્માનું પૂજન કરવામાં આવ્યું હતું. અને ભાવસભર વાતાવરણમાં કુલ 111 ભાવિકોએ શુદ્ધ ઉચ્ચાર સાથે સામૂહિક સંપૂર્ણગીતાપાઠ કરીને ભગવદ્દ ગીતાના અઢાર અધ્યાયનું પારાયણ કર્યું હતું. આ પવિત્ર પ્રસંગે ભગવદ્દગીતા વિશે પ્રાસંગિક ઉદ્દબોધન થયું અને ગીતાપાઠને અંતે વિશ્વકલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગીતા જયંતિ નિમિત્તે ભગવદ્દગીતાની સંગીતમય ઓડીયો સીડીનું રાહત દરે વિતરણ પણ કરાયું હતું. 181 મહિલા હેલ્પલાઇનની મદદથી સગીરાને મળ્યો આગળ ભણવાનો અધિકાર રાજકોટમાં 181 મહિલા હેલ્પલાઇન પર એક સગીરાએ આગળ અભ્યાસ કરવા માટે મદદ માંગી હતી. સગીરાના પિતા આર્થિક તંગીના કારણે તેને વધુ અભ્યાસ કરાવવા તૈયાર નહોતા. કોલ મળતાની સાથે જ 181 ટીમ, જેમાં કાઉન્સેલર શીતલ સરવૈયા, કોન્સ્ટેબલ હર્ષાબેન અને પાયલોટ જયકિશનભાઇ, સગીરાના ઘરે પહોંચ્યા હતા. ટીમ દ્વારા સૌ પ્રથમ રડતી સગીરાને શાંત કરીને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. સગીરા હાલ 11મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના સપના પૂરા કરવા માંગે છે. ત્યારબાદ ટીમે સગીરાના પિતાનું કાઉન્સિલિંગ કર્યું. પિતાએ મજૂરી કરતા હોવાનું અને ઘર તેમજ બાળકોના અભ્યાસનો ખર્ચ પૂરો નહીં થતો હોય દીકરીને ભણાવવાની ના પાડી હોવાનું જણાવ્યું હતું. 181 ટીમે તેમને આજના યુગમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને સરકારી શાળાઓ તેમજ શિક્ષણ સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપી હતી. ટીમની સમજાવટથી પિતાએ દીકરીને આગળ ભણાવવા માટે સહમતી આપી અને કહ્યું કે તેઓ વધુ મહેનત કરીને તથા સરકારી યોજનાનો લાભ લઈને દીકરીના સપના પૂરા કરશે. આમ, 181 મહિલા હેલ્પલાઇનની સમજાવટ બાદ સગીરાને આગળ અભ્યાસ કરવાની પરવાનગી મળી હતી.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:41 pm

કુબેરનગરમાં ગટરના ઢાંકણાથી વૃદ્ધનું મોત મામલો, નાગરિકના જીવ બાદ કાર્યવાહી:AMCના ઉત્તર ઝોનના આસિ. ઇજનેર અને ટેકનિકલ સુપરવાઈઝરને સસ્પેન્ડ કરાયા

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા A વોર્ડના રોડ પરના રાત્રિ દરમિયાન વાહન લઈને પસાર થતાં ખાડામાં વાહન પડતા વૃદ્ધ સ્લીપ થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક નાગરિકો દ્વારા આ ખાડાને રીપેરીંગ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વખત ફરિયાદ કરી હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું અને ખાડાના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર ઝોનના સૈજપુર વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેર અને ટેકનિકલ સુપરવાઇઝર બંનેને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આસિ. ઇજનેર અને ટેકનિકલ સુપરવાઈઝરને સસ્પેન્ડ કરાયામળતી માહિતી મુજબ શહેરના કુબેરનગર વિસ્તારમાં A વોર્ડમાં નંદલાલભાઈ અંબવાની તેમના પરિવાર સાથે રહે છે 26 નવેમ્બર 2025 ના રોજ નંદલાલભાઈ તેમનું વાહન લઈને A વોર્ડના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર ગટરનું એક ઢાંકણું આવેલું છે જે ઢાંકણા પર ખાડો પડેલો હતો. રોડની વચ્ચેના ભાગે જે ખાડો હતો તેમને દેખાયો નહીં અને તેમનું વાહન ખાડામાં પડ્યું જેના કારણે તેઓ સ્લીપ થઈ ગયા હતા અને પટકાયા હતા. નંદલાલ ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કુબેરનગરમાં ગટરના ઢાંકણાથી મોત મામલેમૃતક નંદલાલભાઈના ભત્રીજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના કાકા નંદલાલભાઈ રાત્રિના સમયે વાહન લઈને પસાર થતા હતા ત્યારે રોડની વચ્ચે જે ગટરનું ઢાંકણાનો ખાડો છે તેમાં પડ્યા હતા અને માથામાં બ્રેનહેમરેજ થઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સ્થાનિક લોકોની સાથે અમે વાત કરી ત્યારે આ ખાડાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ઓનલાઇન ફરિયાદ પણ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેનો ફરિયાદ નંબર આપવામાં આવ્યો હતો પરંતુ કામગીરી યોગ્ય કરવામાં આવી નહોતી જેના કારણે થઈ અને એક આધેડે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ગટરનું ઢાંકણું તૂટી ગયાની ફરિયાદ છતાં કાર્યવાહી નહીંસૂત્રોના જણાવ્યા મુજબ કુબેરનગર A વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 70 :20:10 સ્કીમ અંતર્ગત રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ ટીપી રોડ અથવા તો સોસાયટી નો આંતરિક રોડ હોવાની માહિતી છે જોકે આ રોડ ઉપર ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા અંગેની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નહીં. બે કર્મચારીને સસ્પેન્ડ કરાયાઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં પણ ઉત્તર ઝોનના સૈજપુર વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેર અને ટેકનિકલ સુપરવાઇઝર દ્વારા ત્યાં સ્થળ ઉપર કામગીરી કરવામાં આવી નહોતી જેના પગલે તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:39 pm

પ્રભાસપાટણમાં જિલ્લાકક્ષાના ગીતા મહોત્સવની ઉજવણી:રામ મંદિર ઓડિટોરિયમ ખાતે વિદ્યાર્થીઓએ જ્ઞાન મેળવ્યું

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં ભારતીય જ્ઞાન પરંપરા અને 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના સંવર્ધન માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે, ગીતા જયંતીના પાવન અવસરે પ્રભાસ પાટણના શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે જિલ્લાકક્ષાના ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંતકુમાર સેનાપતિએ ગીતાજીનો સાર, જીવનમાં ગીતા પઠનનું મહત્વ અને શ્લોકોની ઉર્જા તથા મહત્તા વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ગીતાજીના વિચારો જીવનમાં કેટલા ઉપયોગી છે તે સમજાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી અને સંસ્કૃત ભાષાના વધુ પ્રચાર-પ્રસાર માટે સૌને અપીલ કરી હતી. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય મિલન પંડ્યા અને રવિ પુરોહિતે સંસ્કૃત ભાષા અને ગીતાજી વિશે રસપ્રદ માહિતી આપી હતી. આ ઉપરાંત, કોડીનાર તાલુકાની ૬ વર્ષીય ઝાલશ્રી રાયસિંહે ગીતાજી વિશેનું જ્ઞાન અનોખી શૈલીમાં રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજીની પૂજનવિધિ કરવામાં આવી હતી. તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અને પંદરમા અધ્યાયનું સમૂહ પારાયણ પણ કર્યું હતું. ઉપસ્થિત સૌએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા ગીતાજી વિશે તૈયાર કરવામાં આવેલી ટૂંકી ફિલ્મ પણ નિહાળી હતી. આ મહોત્સવમાં વિવિધ તાલુકાઓમાંથી કાર્યક્રમની સમીક્ષામાં ભાગ લીધેલા જુદા જુદા જૂથના ઉમેદવારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બપોર બાદ ગીતા મંદિર ખાતે ગીતાજીના સાહિત્ય પ્રદર્શન અને ગીતાજી પૂજન કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. આ ઉજવણીમાં સંસ્કૃત ભારતીના આશાબેન માઢક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, કાર્યક્રમના નોડલ વી.બી. ખાંભલા, ડીઈઓ કચેરીનો સ્ટાફ, જનસેવા ટ્રસ્ટના ભગવાન સોલંકી, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ગુરુઓ, ઋષિકુમારો તેમજ અધ્યાપન મંદિર, સ્વામિનારાયણ ગુરુકુળ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત અનેક મહાનુભાવો સહભાગી થયા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:39 pm

વલસાડમાં વિવાદિત બ્રિજનું કામ ફરી શરૂ:યુથ કોંગ્રેસે ખાનગી ફાર્મ હાઉસને ફાયદો પહોંચાડવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો, કામ બંધ કરવાની માંગ

વલસાડમાં વસીયર અને નનાકવાડાને જોડતા વાંકી નદી પરના વિવાદિત બ્રિજનું કામ ફરી શરૂ થતાં રાજકારણ ગરમાયું છે. યુથ કોંગ્રેસે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક કામ બંધ કરવાની માંગ કરી છે. યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, આ બ્રિજ અને રૂ. 80 લાખની પ્રોટેક્શન વોલનું કામ સ્થાનિકોની કોઈ માંગ વગર કરવામાં આવી રહ્યું છે. તેમનો દાવો છે કે, આ કામનો મુખ્ય હેતુ ભાજપના કાર્યકર્તાના સંબંધીઓના ખાનગી ફાર્મ હાઉસને ફાયદો પહોંચાડવાનો છે. લગભગ એક વર્ષ પહેલા આ બ્રિજનું કામ વિવાદને કારણે બંધ કરવામાં આવ્યું હતું. જોકે, હવે આ કામ ફરી શરૂ થતાં વિરોધ વધુ તીવ્ર બન્યો છે. યુથ કોંગ્રેસના નેતા કુંજાલી પટેલ અને કાર્યકર્તા મિત દેસાઈએ કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે જણાવ્યું હતું કે, જાહેર હિત વિના ખાનગી લાભ માટે થઈ રહેલી આવી કામગીરી ક્યારેય સ્વીકાર્ય નથી. યુથ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 10 દિવસમાં બ્રિજની કામગીરી અટકાવવામાં નહીં આવે, તો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી બહાર ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:35 pm

GST ઘટવા છતાં રાજયની આવકમાં વધારો થયો:એપ્રિલથી નવે.-2025 સુધીમાં ગત વર્ષની સરખામણીમાં આવક 9% વધી

એપ્રિલથી નવેમ્બર- 2025 સુધીમાં રાજ્યને જીએસટી હેઠળ 52,390 કરોડની આવક થયેલી છે. તેની સામે ગત વર્ષના આ જ સમયગાળામાં રાજય જીએસટીને 48,085 કરોડની આવક થઇ હતી. ગત વર્ષના આ સમયગાળાની સરખામણીમાં રાજય જીએસટીને 2025ના સાત મહિનામાં 4,305 કરોડ એટલે કે 9% આવક વધુ થઇ છે. જીએસટી હેઠળ 6,723 કરોડની આવક થઈજીએસટીમાં સુધારા થયા પછી નવેમ્બર- 2025 માં એટલે કે એક જ મહિનામાં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ 6,723 કરોડની આવક થઈ છે, જ્યારે ગત નવેમ્બર- 2024માં 6,655 કરોડ થઇ હતી. જે ગત વર્ષના સાત મહિનાની સરખામણીમાં 68 કરોડ વધુ થઇ છે. ટકાવારીની દ્દષ્ટિએ જોઇએ તો ગત 2024ના સાત મહિનાની સરખામણીમાં 2025ના સાત મહિનામાં 1% વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે, નવેમ્બર- 2025 માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 0.7 % રહેલી છે. રાજ્યને નવેમ્બર- 2025ના એક જ મહિનામાં વેટ હેઠળ ₹ 2,707 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1025 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 14 કરોડની આવક થઈ છે. આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ 10,469 કરોડની આવક થઈ છે. જયારે મોબાઇલ સ્ક્વૉડ દ્વારા થતી તપાસ કામગીરી દરમિયાન નવેમ્બર- 2025 માં ₹ 32.40 કરોડની આવક થયેલી જે ગત વર્ષના સમાન માસ દરમ્યાન થયેલી 20.03 કરોડ સામે 61.7 % વધારે છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:32 pm

ઓઢવમાં AMCની બાંધકામ સાઇટ પર બેઝમેન્ટમાં વિશાળ કોંક્રિટ ટ્રેલર પડ્યું:એક મજૂર દબાતા ફાયરે સહી સલામત બહાર કાઢ્યો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ સોનીની ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસના કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર દુર્ઘટના બની હતી. વર્લ્ડ ઓફિસમાં બેઝમેન્ટની કામગીરીમાં ફાઉન્ડેશન કોન્ક્રીટ ભરવાનું કામ ચાલુ હતું, ત્યારે રેડી મિક્સ કોન્ક્રીટની ગાડી બેઝમેન્ટ એરિયામાં પડી હતી. જેમાં એક વ્યક્તિ ગાડી નીચે દબાઈ જતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. દબાયેલા મજુરને જીવિત હાલતમાં બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાંધકામ સાઇટ પર બેઝમેન્ટમાં વિશાળ કોંક્રિટ ટ્રેલર પડ્યુંમળતી માહિતી મુજબ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, ઓઢવ સોનીની ચાલી બ્રિજ ઉતરતા કોર્પોરેશનની વોર્ડ ઓફિસના કન્સ્ટ્રક્શન સાઇટ પર બેઝમેન્ટનમાં ફાઉન્ડેશન કોક્રિટ ભરવાનું કામ ચાલુ હતું, ત્યારે RMC મિક્સર ઊંધુ પડતા એક મજૂર દબાઈ ગયો છે. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરબ્રિગેડ રેસ્ક્યુ ટીમ દ્વારા ટ્રેલરને ઊંચું કરાવી અને નીચે દબાયેલા વ્યક્તિને જીવિત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર અર્થે 108 મારફતે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગાડી રિવર્સ કરવા જતાં ગાડી સીધી બેઝમેન્ટમાં ખાબકીમ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી આશિષ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. ડ્રાઇવર જ્યારે કોન્ક્રીટ ભરવાની કામગીરી માટે ગાડી લઈને આવ્યો હતો, ત્યારે રિવર્સ કરવા જતા ગાડી સીધી બેઝમેન્ટમાં કામગીરી ચાલતી હતી ત્યાં પડી હતી અને મનીષભાઈ રામુભાઇ નિનામા (ઉ.વ 25) નીચે દબાઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમ તરત ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને તેને સહી સલામત બહાર કાઢતા તેનો જીવ બચી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:31 pm

અમદાવાદમાં સરાજાહેર યુવકની હત્યા:મેઘાણીનગર વિસ્તારમાં હત્યા નિપજાવી અજાણ્યો શખસ ફરાર, પ્રેમ સંબંધમાં હત્યા કરાઈ હોવાની આશંકા

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક જ અઠવાડીયામાં બે હત્યાના બનાવ બન્યા છે.મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર મોડીરાતે એક યુવકને પીઠ પર છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ચાલીને જઈ રહેલા યુવકની હત્યા નિપજાવી અજાણ્યો શખસ ફરારમેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર ચાલતા ચાલતા મિત્ર સાથે જઈ રહેલા ચંદ્રશેખર તોમરની ગઈકાલે મોડીરાતે હત્યા કરવામાં આવી છે. ચંદ્રશેખર તોમર સંયુક્ત પરિવારમાં રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો.. ચંદ્રશેખર તોમર ચાલતો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આવ્યો હતો અને પીઠ પર છરીના આડેધડ છરીના ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો. ચંદ્રશેખર લોહીથી લથબથ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો જ્યા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પ્રેમપ્રકરણમમાં હત્યા થઈ હોવાની આશંકાચંદ્રશેખરના પરિવારજનોને સમગ્ર હકીકતની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટુંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ ચંદ્રશેખરને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા મેઘાણીનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી.ચંદ્રશેખરની હત્યા કોણે કરી તે રહસ્ય હજુ સુધી અકબંધ છે પરંતુ પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની શક્યતા છે જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:27 pm

હાઇકોર્ટે આસારામની આસપાસ રહેતા 3 પોલીસ કર્મચારી દૂર:સાધકો-અનુયાયીઓને નહીં મળશે, હાઇકોર્ટે આસારામને 6 નવે.એ 6 માસના જામીન આપ્યા હતા

આસારામને આપવામાં આવેલા જામીનની શરતોમાં ફેરફાર કરવા માટે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને આજે હાઇકોર્ટે મંજૂર કરી છે. દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને 06 મહિના માટે હાઇકોર્ટે હંગામી જામીન આપ્યા હતા..જો કે આ 06 મહિનાના જામીનના હુકમની એક શરત મુજબ તેની આસપાસ 03 પોલીસ કર્મચારીઓની હાજરી રહેશે. આ શરતમાં ફેરફાર કરી આપવા અથવા તો તેને કાઢી નાખવા તેને હાઇકોર્ટમાં અરજી કરી હતી. પોલીસ ભલે હટી પણ સાધકો કે અનુયાયીઓને મળી શકશે નહીં06 નવેમ્બરના રોજ હાઈકોર્ટે આશારામને 2013 ના દુષ્કર્મ કેસમાં 06 મહિનાના હંગામી જામીન આપ્યા હતા. તેને મુક્ત કરતી વખતે લાદવામાં આવેલી એક શરત એ હતી કે તે તેના અનુયાયીઓને જૂથમાં નહીં મળે અને પોલીસ અધિકારીઓના રૂપમાં 03 સુરક્ષા કર્મચારીઓ તેની આસપાસ હાજર રહેશે. જો કે આસારામની આસપાસથી પોલીસ ભલે હટી. પરંતુ તે પોતાના અનુયાયીઓ અને સાધકોને મળી શકશે નહીં. અગાઉ 21મી નવેમ્બરના રોજ સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્યને નોટિસ જારી કરતી વખતે વકીલને મૌખિક રીતે કહ્યું હતું કે પોલીસ અધિકારીઓની 24 કલાક હાજરી જરૂરી છે કે નહીં તેના પર વિચાર કરો. રાજ્ય સરકાર તરફથી આજે વકીલે કહ્યું હતું કે સરકાર તે પોલીસ કર્મચારીઓનો ખર્ચ ઉપાડવા તૈયાર છે. વળી આશારામના વકીલે સાધકો મળવા આવે તો મળવા દેવાની પણ માંગ કરી હતી. જો કે હાઇકોર્ટે તેની સ્પષ્ટ ના પાડતા ફક્ત પોલીસ સ્ટાફ હટાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:25 pm

મહેસાણામાં અનોખું કન્યાદાન:માનવ આશ્રમ રોડ પરની સોસાયટીમાં પિતાએ દીકરીના લગ્નમાં સનાતન પરંપરાને જીવંત રાખતાં દેશી ગાયનું દાન કર્યું

મહેસાણાના માનવ આશ્રમ રોડ પર આવેલી ઉમિયાધામ સોસાયટીમાં એક અનોખો લગ્ન પ્રસંગ જોવા મળ્યો. જ્યાં પિતા જનકભાઈ યોગીએ પોતાની દીકરી શ્રેયાના લગ્નમાં પ્રાચીન સનાતન પરંપરાને જીવંત રાખતાં દેશી ગાયનું દાન કર્યું. લગ્ન મંડપમાં શણગારેલા નાના વાછરડા સાથે ગાય દીકરીને અપાઈ ત્યારે હાજર મહેમાનોએ હર્ષોલ્લાસ સાથે 'ગૌ માતાની જય' ના નારા લગાવ્યા હતા લગ્નની ચોરીમાં ગાય માતાનું વિધિવત પૂજન કરાયા બાદ કન્યાના પિતાએ દીકરી શ્રેયા અને જમાઈને ગાયનું દાન કર્યું. પિતાએ દીકરીના લગ્નમાં સનાતન પરંપરાને જીવંત રાખતાં દેશી ગાયનું દાન કર્યુંગૌદાન બાબતે જનકભાઈએ જણાવ્યું કે, ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે, ગૌદાન સર્વોથી શ્રેષ્ઠ પુણ્ય છે. ગૌદાનથી ભગવાન હરિ પ્રસન્ન થાય છે. ગાયો સર્વની પૂજનીય હોવાથી ગૌદાન શુભ અને કલ્યાણકારી છે. ગાય ભારતીય સંસ્કૃતિમાં માતૃરૂપ છે. તેનું દાન કરવું માત્ર પરંપરાનો ભાગ નથી, પરંતુ સંવેદના, કરુણા અનેપુણ્યભાવનું જીવંત પ્રતિબિંબ છે. આવું દાન નવી પેઢીને સંસ્કાર સિદ્ધાંત અને સેવા-ભાવના તરફ દોરી જાય છે.જ્યાં મોટા ભાગે માત્ર પ્રતિકાત્મક ગૌદાન કરવામાં આવે છે, ત્યાં વાસ્તવિક ગેંદાનથી સમાજને પ્રેરક સંદેશો આપ્યો છે.સંસ્કૃતિ જીવંત રાખવાનો સંકલ્પ: દીકરીના પિતા જનકભાઈ યોગીએ વૈદિક પરંપરાને કર્મોમાં ઉતારી વાસ્તવિક ગાયનું કર્યું દાન સંસ્કૃતિ અને હિંદુ પરંપરાની પવિત્રતાને જીવંત રાખવાનો અનોખો સંકલ્પ આજના આધુનિક યુગમાં જ્યાં ધાર્મિક વિધિઓ માત્ર ઔપચારિકતા બની રહી છે ત્યાં મહેસાણાના એક પરિવારે ગૌસેવા કૃષિ આધારિત સંસ્કૃતિ અને હિંદુ પરંપરાની પવિત્રતાને જીવંત રાખવાનો અનોખો સંકલ્પ કર્યો છે.મહેસાણાના માનવ આશ્રમ રોડ પર આવેલી ઉમિયાધામ સોસાયટીમાં આયોજિત એક શુભ લગ્ન પ્રસંગે દીકરીના પિતાજનકભાઈ યોગીએ પ્રતીકાત્મક નહીં, પણ વાસ્તવિક ગાયનું ગૌદાન કરીને સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. 'મારા લગ્નમાં પિતાજીએ પરંપરાનું સન્માન પ્રતીકરૂપે નહીં, પણ વાસ્તવિક રીતે કર્યું છે'ધર્મશાસ્ત્રનો સંદેશ કર્મોમાંસામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં પ્રતીકરૂપે નારિયેળ કે દક્ષિણા આપીને ગૌદાનની વિધિ પૂર્ણ કરવામાં આવતી હોય છે. ગૌદાનના આ પવિત્ર કાર્ય બાદ જનકભાઈ યોગીએ પોતાનો મૂલ્યઆધારિત સંદેશ આપતા જણાવ્યું કે, ગાય ભારતીય સંસ્કૃતિમાં માતૃરૂપ છે. તેનું દાન કરવું માત્ર પરંપરા નથી, પરંતુ સંવેદના, કરુણા અનેપુણ્યભાવનું જીવંત પ્રતિબિંબ છે. આવું દાન નવી પેઢીને સંસ્કાર અને સેવા-ભાવના તરફ દોરી જાય છે.બીજી તરફ, ગૌદાનસ્વીકારનાર દીકરી શ્રેયાએ ગૌરવ સાથે કહ્યું હતું કે, મારા લગ્નમાં પિતાજીએ પરંપરાનું સન્માન પ્રતીકરૂપે નહીં, પણ વાસ્તવિક રીતે કર્યું છે. 'સંસ્કાર પુસ્તકોમાં નહીં, પરંતુ આચરણમાં જીવંત રહે છે'આ ગૌદાન મારા માટે આશીર્વાદ અને ગૌરવ બંને છે.ગૌદાનનું આધ્યાત્મિક મહત્વ હિંદુ લગ્નવિધિમાં ગૌદાનને વર-વધૂ માટે સુખ-શાંતિ, સમૃદ્ધિ, દીર્ઘ આયુષ્ય અને પાપનાશ કરનારું સર્વોચ્ચ દાન માનવામાં આવે છે.જનકભાઈ યોગીના આ કાર્યે સમાજમાં એક સુંદર સંદેશ આપ્યો છે કે, “સંસ્કાર પુસ્તકોમાં નહીં, પરંતુ આચરણમાં જીવંત રહે છે.” આ લગ્ન સમારંભ સંપૂર્ણ વૈદિક રીતિ-રિવાજો સાથે યોજાયો હતો અને વાસ્તવિક ગૌદાન જેવી પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરીને આ પરિવારે સંસ્કૃતિ-જાગૃતિનો એક ઉત્તમ પાયો નાખ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:23 pm

હિંમતનગર સિવિલ પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરતા બે ઝડપાયા:સિક્યોરિટીએ પકડી પોલીસ ચોકીને સોંપ્યા, વીડિયો સામે આવ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરતા બે શખ્સોને સિક્યોરિટી જવાનોએ ઝડપી પાડ્યા હતા. આ બંનેને સિવિલની પોલીસ ચોકીને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોની અવરજવરને કારણે પાર્કિંગમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને રિક્ષાઓ મોટી સંખ્યામાં પાર્ક થયેલી હોય છે. આ પાર્કિંગમાં બે શખ્સો એક રિક્ષાની આસપાસની અન્ય બે રિક્ષાઓમાંથી એક પછી એક ટાયર કાઢીને પોતાની રિક્ષામાં મૂકી રહ્યા હતા. સિક્યોરિટી જવાનોએ આ ચોરી કરતા શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન, તેઓએ રિક્ષામાંથી ટાયર ચોર્યા હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ બંનેને પકડીને સિવિલ પોલીસ ચોકીમાં સોંપવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:22 pm

વાપી-શામળાજી, પારડી-કપરાડા રોડ જર્જરિત:વલસાડ કોંગ્રેસે તાત્કાલિક મરામતની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી

વલસાડ જિલ્લાના વાપીથી શામળાજી અને વાપી-પારડીથી કપરાડા તરફ જતા નેશનલ હાઈવે તથા તેના પર આવેલા પુલોની ખરાબ સ્થિતિ અંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક મરામતની માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ, વિવિધ સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓની ટીમે કલેક્ટરને જણાવ્યું કે, નેશનલ રોડના અનેક ભાગો અત્યંત ખરાબ હાલતમાં છે. વાપી-શામળાજી માર્ગ પરના કેટલાક પુલો એટલા જર્જરિત છે કે તેમને બંધ કરવાની ફરજ પડી છે. આના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રજૂઆતમાં કોંગ્રેસ સમિતિએ ઉલ્લેખ કર્યો કે, ખરાબ રસ્તાઓ અને બંધ પુલોને કારણે વાહનોને નુકસાન થાય છે, જેનાથી આર્થિક બોજ વધે છે. વાહનચાલકોની સલામતી પણ જોખમાયેલી રહે છે અને વાહનવ્યવહાર પણ ખોરવાઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને નેશનલ રોડ અને પુલોનું તાત્કાલિક સમારકામ તથા નવું નિર્માણ કાર્ય હાથ ધરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં, વાપી-શામળાજી રોડ માટે 400 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 5 નવા બ્રિજ અને નવા રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું છે. સ્થાનિક લોકોને હાલમાં પડતી હાલાકી દૂર કરવા માટે યોગ્ય માર્ગો પર ડાયવર્ઝન આપવા અને ગામડાઓના બિસ્માર બનેલા મુખ્ય માર્ગોનું યોગ્ય રીતે સમારકામ કરવા સ્થાનિક આગેવાનો અને કોંગ્રેસના નેતાઓએ માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:21 pm

સુત્રાપાડા તાલુકામાં લોઢવા-માલકવા માર્ગ દાયકાથી જર્જરિત:ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી, CC રોડ બનાવવા માંગ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી ખોડીયાર મંદિર (માલકવા વિસ્તાર) સુધીનો માર્ગ છેલ્લા લગભગ ૨૦ વર્ષથી બિસમાર હાલતમાં છે. આ અંગે ગ્રામજનોએ ભારે અકળામણ વ્યક્ત કરી છે. માર્ગની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત પાઠવી સીસી રોડની તાત્કાલિક મંજૂરીની માંગણી કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, આ માર્ગથી દરરોજ આશરે 2500 જેટલા નાગરિકો અવરજવર કરે છે. વિસ્તારના ૭૦૦થી વધુ રહેણાંક મકાનો, ખેડૂત વસ્તી અને દૈનિક કૃષિ પ્રવૃત્તિઓ માટે આ માર્ગ મુખ્ય જીવનરેખા સમાન છે. ચોમાસામાં પાણી ભરાઈ જવાથી અને કાદવના કારણે માર્ગ સંપૂર્ણપણે અપ્રવેશ્ય બની જાય છે. જેના કારણે બાળકોને ગામની શાળા સુધી પગપાળા જવાની ફરજ પડે છે. ઉબડખાબડ સપાટી, ઊંડા ખાડાઓ અને કાચા માર્ગની હાલતથી વડીલો અને મહિલાઓને પણ રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તાર મુખ્યત્વે ખેડૂતપ્રધાન છે. પાક ઉત્પાદન, દૂધ વ્યવહાર તથા દૈનિક કૃષિ કામકાજ માટે આ જ માર્ગ પર આધાર રાખવો પડે છે. માર્ગની હાલતને કારણે કૃષિ વાહનોના અવરજવરમાં પણ ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ સુવિધાના અભાવ વચ્ચે, ગ્રામજનોએ ડી.એમ.એફ. ફંડમાંથી જરૂરી બજેટ ફાળવી આ માર્ગનો સીસી રોડ પ્રસ્તાવ મંજૂર કરવાની માંગણી સાથે કલેક્ટરને વિનંતી કરી છે. તેઓએ વર્ષો જૂની સમસ્યાનો અંત લાવી લોકોની જીવનજરૂરી મુશ્કેલીઓ દૂર કરવા અપીલ કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, જો માર્ગનું નિર્માણ વહેલી તકે કરવામાં આવશે તો ૨૫૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત, સરળ અને સુગમ અવરજવરનો માર્ગ પ્રાપ્ત થશે. તેમજ બાળકો, ખેડૂતો અને સમગ્ર વસ્તીને મોટી રાહત મળશે. સ્થાનિક સ્તરે લાંબા સમયથી પ્રવર્તતી આ માંગ હવે કલેક્ટર કચેરી સુધી પહોંચી છે. હવે આ મહત્વપૂર્ણ જાહેર હિતના મુદ્દે જિલ્લા વહીવટીતંત્ર કઈ કાર્યવાહી કરે છે તે પર સૌની નજર છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:21 pm

મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના મતવિસ્તારમાં ઓડિટોરિયમ બનશે:નીલમબાગ સર્કલ પાસે રૂ.60 કરોડના ખર્ચે 850 બેઠક ક્ષમતાનું અત્યાધુનિક ઓડિટોરિયમ બનશે

ભાવનગર મહાનગરપાલિકા શહેરના વિકાસ માટે પશ્ચિમ વિસ્તારમાં રૂ.60 કરોડના ખર્ચે નીલમબાગ સર્કલ પાસે અત્યાધુનિક ઓડિટોરિયમ બનાવશે, આ 850 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે અને ફાયર સેફટી સહિતની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે જનસુખાકારીના ભાગરૂપે બનાવવામાં આવશે. સરદારનગર ખાતેના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમની સફળતા બાદ, શહેરના કલા અને સંસ્કૃતિ ક્ષેત્રને વધુ વેગ આપવા માટે વધુ એક અત્યાધુનિક ઓડિટોરિયમનું નિર્માણ થશે. જેમાં કૃષિ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ના મતવિસ્તાર એટલે કે પશ્ચિમ વિધાનસભામાં એક અત્યાધુનિક ઓડિટોરિયમ બનાવવામાં આવશે,સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભાવનગરના શહેરીજનોની સુખાકારી તથા શહેરના વિકાસ તેમજ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઇને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર કામોનું આયોજન કરવામાં આવેલ છે તથા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વધુ એક ઓડીટોરીયમ શહેરમાં કલા અને સંસ્કૃતિ ક્ષેત્રને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્ય વિસ્તારમાં નિલમબાગ સર્કલ પાસે એલ.આઇ.સી. ઓફિસની બાજુમાં આવેલ મહાનગરપાલિકા હસ્તકની જગ્યામાં અંદાજિત રૂપિયા 60 કરોડના ખર્ચે અત્યાધુનિક ઓડીટોરીયમ બનાવવા માટે સ્ટેન્ડીંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપવામાં આવેલ છે તથા તે અન્વયે ટેન્ડર પ્રક્રિયા થયેથી આકર્ષક બિલ્ડીંગ સાથે ઓડીટોરીયમ બનાવવામાં આવનાર છે. આ ઓડીટોરીયમમાં તમામ જરૂરી સર્વિસીસ જેવી કે, ફાયર સેફટી સિસ્ટમ, જનરેટર રૂમ, લિફટસ, કંટ્રોલ-મેન્ટેનન્સ રૂમ, યુ.પી.એસ. રૂમ, સર્વર રૂમ સાથે બનાવવામાં આવનાર છે. વધુમાં સ્ટેજ સાઈડ લાઈટ કંટ્રોલ રૂમ, સાઉન્ડ કંટ્રોલ રૂમ, કોન્સોલ રૂમ, ઇલેક્ટ્રીક પેનલ રૂમનું આયોજન થયેલ છે. મહાનગરપાલિકા દ્વારા ઓડીટોરીયમમાં ગ્રાઉન્ડ ફલોર, અપર ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર મુજબ સ્ટ્રક્ચરલ ડીઝાઈન બનાવી સ્પેસને મહત્તમ ઉપયોગ થયેલ છે. જેમાં આ ઓડીટોરીયમ 850 માણસો બેસી શકે એટલી કેપેસિટીનું બનાવવા આર્કીટેકટ દ્વારા આયોજન થયેલ છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોનું આયોજન થયેલ છે. વધુમાં શહેરીજનોના ઉપયોગ માટેની વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે આયોજનપૂર્વક તમામ કામો કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:19 pm

બોટાદમાં 24 ડિસેમ્બરે તાલુકા સ્વાગત કાર્યક્રમ:ફરિયાદોનું નિવારણ થશે, અરજદારો પોતાના આધાર પુરાવા સાથે રૂબરૂ હાજર રહી રજૂઆત કરી શકશે

બોટાદ તાલુકા (શહેર અને ગ્રામ્ય) ના નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોના નિવારણ માટે ડિસેમ્બર-2025 માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 24 ડિસેમ્બર, 2025, મંગળવારના રોજ યોજાશે. આ કાર્યક્રમ સવારે 10:30 કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી, બોટાદ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરીઓ અને વિભાગોને લગતા એવા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, જેનો નિર્ણય તાલુકા કક્ષાએ લઈ શકાય તેમ હોય. અરજદારો પોતાના આધાર પુરાવા સાથે રૂબરૂ હાજર રહીને પોતાની રજૂઆત કરી શકશે. પ્રશ્નો માટેની અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર, 2025 રાખવામાં આવી છે. અરજીઓ જાહેર રજાના દિવસો સિવાય સવારના 10:30 કલાકથી સાંજના 6:10 કલાક દરમિયાન રૂબરૂ મામલતદાર, બોટાદ (ગ્રામ્ય)ની કચેરી ખાતે જમા કરાવી શકાશે. વૈકલ્પિક રીતે, અરજદારો https://swagat.gujarat.gov.in પોર્ટલ પર પણ ઓનલાઈન અરજી કરી શકે છે. મામલતદાર, બોટાદ (ગ્રામ્ય) દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ નિયત સમયમર્યાદામાં પોતાની અરજીઓ રજૂ કરે, જેથી તેમના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:17 pm

વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતીનું કલેક્ટરને આવેદનપત્ર:મનપામાં રજૂઆત કરનાર સામાજિક કાર્યકર વિરૂદ્ધ થયેલી ફરીયાદ રદ કરવા માગ, રાજકીય ઇશારે ફરીયાદ કરાઈ હોવાના આક્ષેપ

કરમસદ આણંદ મહાનગરપાલિકાના પધારિયા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. વારંવાર ગટર ઉભરાવાથી આ વિસ્તારમાં અસહ્ય ગંદકી તેમજ દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. આ અંગે સ્થાનિકો દ્વારા મનપા કચેરીમાં લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું ન હતું. આખરે આ ગટર ઉભરાવવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં સ્થાનિકો ગત તારીખ 27-11-2025 ના રોજ સામાજિક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ કરમસદ-આણંદ મનપા કચેરીએ પહોંચ્યાં હતાં અને ગટરનું ગંદુ પાણી મનપા કચેરીમાં ઢોળીને તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશ્નરના ટેબલ પર બંગડી ફેંકીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સાથે-સાથે આવેદનપત્ર આપી સત્વરે સમસ્યાનો હલ કરવાની માંગ ઉચ્ચારી હતી. જે તે વખતે નાયબ મ્યુનિસિપલ કમિશ્નરના પી.એ સંતોષ અરૂણભાઈ રાજગુરુ અને સામાજિક કાર્યકર હર્ષિલ દવે વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. આ અંગે સંતોષ રાજગુરુએ આણંદ ટાઉન પોલીસમથકમાં હર્ષિલ દવે વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદ ખોટી રીતે કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજરોજ વલ્લભ વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગત તારીખ 27-11-2025 ના રોજ હર્ષિલ દવે પાધરિયા વિસ્તારની આર્શિવાદ અને નિલગીરી સોસાયટીના ગટરના પ્રશ્ને રજૂઆત કરવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ઓફિસે ગયાં હતાં. તેઓ ડે. કમિશ્નર સમક્ષ રજૂઆત કરતા હતા, તે સમયે તેમના સહકર્મી સંતોષ રાજગુરુએ હર્ષિલભાઈ સામે ઉગ્રતાથી તથા અસભ્ય રીતે અશિષ્ટ ભાષા વાપરી અપમાનજનક વર્તન કર્યું હતું. જે બાદ રાજકીય ઇશારે તેમની સામે 30 કલાક પછી ખોટી F.I.R કરી છે, જેમાં ગંભીર પ્રકારની કલમો લખી છે. આ સંતોષ ભાજપ પક્ષનો સક્રિય કાર્યકર છે. પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી, સત્તાધિશો સમક્ષ રજૂઆત કરવી એ જાગૃત નાગરિકનો બંધારણીય અધિકાર છે, જેનું હનન થાય છે તથા પ્રજાની હાડમારીઓ તરફ સત્તાધિશો ઘોર અવગણના કરે છે, જે અન્યાયી અને ગેરવાજબી કહેવાય. રજૂઆત કરનાર નાગરિક સાથે અસભ્ય, અપમાનજનક વ્યવહાર કરી ગલીચ ભાષા વાપરનાર તથા હેબુંદુ વર્તન કરનાર કર્મચારી સામે ખાતાકીય તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવી જોઇએ. તથા રાજકીય ઇશારે થયેલી ખોટી ફરીયાદ પણ રદ થવી જોઇએ તથા ન્યાયિક કાર્યવાહી કરી આવા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા અમારી માંગણી છે. જો આ બાબતે ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટું જનઆંદોલન કરી નગરપાલિકાના કર્મચારીઓની આડોડાઈ અને તેમની કામગીરી કરવાની નિષ્ક્રિયતા છતી કરીશું તથા જરૂર પડે ગુજરાત હાઇકોર્ટ કે સુપ્રિમકોર્ટ સુધી લડત આપીશું. કોંગ્રેસના આગેવાન વિરેન્દ્રસિંહ ચાવડા જણાવે છે કે, આણંદ મહાનગરપાલિકાના લોકોની કામ કરવાની વૃત્તિ જ નથી અને તે છુપાવવા માટે આ ખોટી ફરીયાદ કરી છે. કોઈપણ નાગરિક રજૂઆત કરવા મનપા કચેરીમાં જાય નહીં અને લોકોને બિવડાવવા-ડરાવવાની આ ચાલ છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:16 pm

મહેસાણા મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર સેન્ટરનું લોકાર્પણ:ધારાસભ્ય, જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિ, લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે

મહેસાણા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એસ.કે પ્રજાપતિના હસ્તે અને અગ્રણી ગીરીશભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં નવીન જનસેવા કેન્દ્ર (એટીવીટી સેન્ટર)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ એટીવીટી સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર બનવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર સેન્ટરનું લોકાર્પણ મહેસાણા મામલતદાર કચેરી ખાતે હાલ જનસેવા કેન્દ્ર એટીવીટી સેન્ટર કાર્યરત છે પરંતુ મહેસાણા તાલુકાના વિસ્તારને તેમજ અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત રૂપિયા ૩૫ લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર (એટીવીટી સેન્ટર) તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં 7/12,8 અના ઉતારા જાતિના દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ મહેસાણા તાલુકાના લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે. લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશેઆ તકે જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિએ મામલતદાર કચેરી ખાતે આવેલ અરજદારો સાથે પૃચ્છા કરી કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરળતાથી મળી રહે તે માટે સુચના આપી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર જશવંત કે. જેગોડા મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, મહેસાણા મામલતદાર ગૌતમ વાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:15 pm

રાજકોટ કિન્નર અખાડાનો વિવાદ વકર્યો:ગાદીપતિ મીરા દે વિરુધ્ધ આક્ષેપ કરતા નિકિતા દે ના પોસ્ટર પર ચપ્પલ મારતો રાજ્ય કિન્નર સમાજ

રાજકોટ કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દે ની સામે પડેલા નિકિતા દે ના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતમાંથી કિન્નરોના ગાદીપતિ અહીં એકત્રિત થયા હતા. અમદાવાદ , બરોડા ,જૂનાગઢ તેમજ ઉજ્જૈન કિન્નર અખાડા સહીત 70 થી વધુ ગાદીપતિ અહીં પહોંચ્યા હતા. કિન્નર નિકિતા દે એ ગાદીપતિ મીરા દે વિરુધ્ધ કરેલા આક્ષેપોને નકારી તમામ કિન્નરોએ વિરોધ નોંધાવ્યો હતો. નિકિતા દે ના ફોટો પર ચપ્પલો મારી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કિન્નર સમાજમાંથી નિકિતા દે નો બોયકોટનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિન્નરોની આરપારની લડાઈ રાષ્ટ્રીય સ્તર પર કિન્નર અખાડાના મહામંડલેશ્વર સુધી પહોંચી છે. '​​​​​​​નિકિતા દે કિન્નર છે કે નર છે એ ખબર નથી'જૂનાગઢના પંચદશનામ જૂના અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનારીએ જણાવ્યું હતું કે, નિકિતા દે કિન્નર છે કે નર છે એ ખબર નથી પરંતુ તેને અમારા સમાજમાંથી બોયકોટ એટલા માટે કરવામાં આવી છે કે તેને કિન્નર સમાજની પરંપરા તોડી છે અને હોદો મેળવવા માટે પાયા વિહોણા આક્ષેપો કર્યા છે. આ એક જગ્યા મેળવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. શિવરાત્રીના મેળા દરમિયાન અમારી સાથે ઘણા બધા છોકરાઓ સેવામાં જોડાયેલા હોય છે તો શું એ કિન્નરોના બોયફ્રેન્ડ હોય છે? નિકિતા દે એ પોતાના મોજ શોખ પુરા કરવા માટે ગુરુ વિરુદ્ધ કાવતરું રચ્યું છે અને ગાદીપતિ બનવા માંગે છે પરંતુ જો તેના દ્વારા સમગ્ર કિન્નર સમાજની માફી માગવામાં આવશે તો તેને માફ કરવામાં આવશે. 'મીરા દે ઉપર નિકિતા દેએ કરેલા આક્ષેપો ખોટા'અમદાવાદથી આવેલા કશિશ દે એ જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી કિન્નરો અહીં એકત્ર થયા છીએ. છેલ્લા ત્રણ ચાર દિવસથી મીરા દે ઉપર નિકિતા દે દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે. રાજકોટના ગાદીપતિ મીરા દે છે. જેમની સાથે મિહિર નામના યુવાનનું નામ જોડવામાં આવ્યું છે તેનો આમાં કોઈ રોલ જ નથી. મીરા દે અને મિહિર વચ્ચે કોઈ જો સંબંધો નથી કે જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જેથી અમે ડુપ્લીકેટ કિન્નર નિકિતા દે નો વિરોધ કરીએ છીએ કારણકે ગુરુની હાજરીમાં તેને ગાદીપતિ બનવું છે જેથી ખોટા આક્ષેપો કરતી નિકિતા દે ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઉજ્જૈન મહામંડલેશ્વર આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડાથી આવેલા સતી નંદગિરિએ જણાવ્યુ હતું કે, નિકિતા દે રાજકોટની શાંતિનો ભંગ કરી રહી છે. તેના માટે અમે અહીં કિન્નર સમાજ એકત્ર થયા છીએ. નિકિતા દે નો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની આવક થાય છે તે ખોટું છે લોકો દ્વારા અમને જે આપવામાં આવે છે તે લઈએ છીએ અને તે પૈસાનો ઉપયોગ પણ ધર્મના કામ માટે કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:14 pm

રેલવે મહિલા પેઇન્ટરના ઘરમાં ચોરી:દિવાળી વેકેશનમાં વતન ગયેલી મહિલા કર્મચારીના બંધ મકાનનો દરવાજો તોડી તિજોરીમાંથી ₹77 હજારના સોના-ચાંદીના દાગીના લૂંટાયા

વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતા અને આઇ ઓ ડબલ્યુ રેલવે ઓફિસમાં પેઇન્ટર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી પોતાના વતન ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂ.77 હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પાડોશીએ ચોરીની જાણ કરતા મહિલા કર્મચારીએ પરત ઘરે આવી ફરિયાદ નોંધાવી હતી. પેઈન્ટર તરીકે નોકરી કરી પરિવારનું જીવન ચલાવુ છુંશહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતા ચંપાબેન જોગીભાઈ નાયકાએ ફરિયાદ નોંધાવી છે કે, હું પ્રતાપનગર ખાતે આવેલ આઈ ઓ ડબલ્યુ રેલ્વે ઓફિસમા ગ્રેડ-1 પેઈન્ટર તરીકે નોકરી કરી પરિવારનું જીવન ચલાવુ છું. મારા પતિનું વર્ષ 2013માં મોત થયુ છે. મારે બે દીકરીઓ અને એક છોકરો છે. મોટી દીકરી સાસરે રહે છે અને એક દીકરો-દીકરી અભ્યાસ કરે છે. ગત 20 ઓક્ટોબરનાં રોજ દિવાળીનો તહેવાર હોવાથી મારી નોકરી ઉપરથી બાર વાગ્યે ઘરે આવી બપોરના 2 વાગ્યે મારા મકાનના મુખ્ય દરવાજાને લોક મારી અને છોટાઉદેપુર ખાતે ગઈ હતી અને બીજા દિવસે 21 ઓક્ટોબરના સવારે અમારા બ્લોકમાં રહેતા અનિલભાઈએ અમારી સાથે નોકરી કરતા દિલીપભાઈને ફોન કર્યો હતો. ચોર 77 હજારની માલમતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાદિલીપભાઈએ ફોન કરીને મને જણાવ્યું હતું કે, તમો ક્યા છો તમારા ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં છે અને ઘરનાં મુખ્ય દરવાજાને મારેલું લોક તૂટેલું છે. જેથી અમે તાત્કાલિક છોટાઉદેપુરથી વડોદરા અમારા મકાન ખાતે આશરે દોઢેક વાગે આવ્યા હતા અને જોયું તો મકાનનો દરવાજાનો નકુચો તુટેલ હાલતમાં હતો અ ને દરવાજો ખુલ્લો હતો, જેથી મેં મકાન બેડરૂમમાં તપાસ કરતા બેડરૂમમા રાખેલ લોખંડની તીજોરીનાં દરવાજા ખુલ્લા હતા અને તિજોરીનાં લોકર સમાન વેર વિખેર હતો. જેથી તસ્કરો મારી તિજોરીનાં પૈસા તથા દાગીના મળી રૂપિયા 77 હજારની માલમતા ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે ગુનો નોધી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 7:06 pm

સોમનાથ યુનિવર્સિટીમાં બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા શરૂ:શિવતત્ત્વ અનુસંધાન પીઠ દ્વારા ભારતીય ભાષાસમિતિના સહયોગથી આયોજન

વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં શિવતત્ત્વ અનુસંધાન પીઠ દ્વારા ભારતીય ભાષાસમિતિ, નવી દિલ્હીના સહયોગથી બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આ કાર્યશાળા Uniform Scientific and Technical Terminology for Indian Languages વિષય પર આધારિત છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન વૈદિક મંત્રોચ્ચાર અને દીપપ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ અતિથિ તરીકે પ્રખ્યાત સંત અને પ્રેરક વક્તા ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે સંસ્કૃત એક દિવ્ય ભાષા છે જે અપરા અને પરા એમ બંને પ્રકારની વિદ્યાના દ્વાર ખોલે છે. ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે સ્વામીએ શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનમ્ સૂત્ર ટાંક્યું. તેમણે કહ્યું કે શ્રદ્ધા વિદ્યાર્થીજીવનનું મુખ્ય સાધન છે અને લક્ષણ વિનાનું શિક્ષણ ભક્ષણ કરે છે, જ્યારે લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે છે. ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના બાળપણની પ્રેરક ઘટના વર્ણવી. તેમણે વિદ્યાર્થીઓને શ્રમ, શ્રદ્ધા અને સંકલ્પને જીવનમાં સર્વોચ્ચ સ્થાન આપવા જણાવ્યું. સ્વામીએ નોંધ્યું કે વિશ્વભરના હજારો વૈજ્ઞાનિકો બોમ્બ અને મિસાઇલોના સંશોધનમાં વ્યસ્ત છે, જે લક્ષણહીન શિક્ષણનું ઉદાહરણ છે. તેમણે પ્રમુખસ્વામી મહારાજના મનમના ભવ સૂત્રનો ઉલ્લેખ કરીને ચારિત્ર્યનિર્માણ અને મૂલ્યઆધારિત શિક્ષણને સમયની જરૂરિયાત ગણાવી. કાર્યક્રમમાં સારસ્વત અતિથિ તરીકે ડેક્કન કોલેજ, પુણેના કુલપતિ પ્રો. પ્રસાદ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશોની ચર્ચા કરી અને જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલું સ્વકર્મનું માર્ગદર્શન આજે પણ પ્રાસંગિક છે. ભારતીય ભાષા સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ચમૂ કૃષ્ણ શાસ્ત્રીએ વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી અને સંસ્કૃત ભાષાની વૈજ્ઞાનિકતા સમજાવી. ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે યોગ્ય શબ્દસંપત્તિ, વૈજ્ઞાનિક પરિભાષાઓ અને ભાષાની એકરૂપતા રાષ્ટ્રીય વિકાસનો મજબૂત પાયો છે. તેમણે ઉમેર્યું કે સ્વ-વિકાસ દ્વારા સમાજ-વિકાસ એ યુનિવર્સિટીની મૂળ દૃષ્ટિ છે. કુલપતિ સેનાપતિએ ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશીની શુભકામનાઓ પાઠવી. તેમણે બે દિવસીય કાર્યશાળામાં થતા સંવાદને સર્વાંગી શૈક્ષણિક સમૃદ્ધિ તરફનું પગલું ગણાવ્યું. કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ મહેમાનોનો પરિચય અને સ્વાગત કર્યું. કાર્યશાળાના સંયોજક ડૉ. મંગલવર્ધનદાસ સાધુએ મંચસંચાલન સંભાળ્યું, જ્યારે આભારવિધી ડૉ. પંકજકુમાર રાવલ દ્વારા વ્યક્ત કરવામાં આવી. પૂર્ણતામંત્ર સાથે સમારોહ સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:52 pm

બોટાદમાં ગીતા જયંતિ મહોત્સવ:સંજય ઠાકરને ગીતા ભૂષણ એવોર્ડ, 142 વિજેતાઓને ગીતા કંઠપાઠ યોજનાના પ્રમાણપત્રો અપાયા

બોટાદ જિલ્લામાં ગીતા મહોત્સવ-૨૦૨૫ની ઉજવણી ગઢડા રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, બોટાદ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ ભારતીય જ્ઞાન-પરંપરા અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહિમાના પ્રસાર માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં ગઢડા ગીતા પાઠશાળા સંસ્થાનના પ્રમુખ સંજયભાઈ ઠાકરને 'ગીતા ભૂષણ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અંતર્ગત આયોજિત 'સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજના' સ્પર્ધામાં સફળતા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રભરમાં યોજાઈ હતી. ગીતા કંઠપાઠ યોજના અંતર્ગત કુલ ૧૪૨ વિજેતા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોડેલ સ્કૂલ તળાજાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ અને પૂર્વ શિક્ષણાધિકારી તથા સંસ્કૃત ગૌરવ પરીક્ષાના રાજ્ય અધ્યક્ષ મનોજભાઈ ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શંખનાદ અને ગીતાપૂજન બાદ ડો. વિક્રમસિંહ પરમારે સ્વાગત પ્રવચન આપ્યું હતું. નોડલ અધિકારી વનિતાબેન પંચાલે સંસ્કૃત બોર્ડની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જ્યારે પૂજ્ય માધવસ્વરૂપદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્કૃત ભારતી બોટાદ જિલ્લા સંયોજક ડો. આનંદભાઈ ગઢવીએ ભગવદ્ ગીતાના અધ્યાય-૧૨નું પઠન કરાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. ભરત વઢેરે ભારતીય મૂલ્યો, ભારતીય શિક્ષણ પ્રણાલી અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બોટાદ જિલ્લાની શૈક્ષણિક પ્રગતિ અંગે પણ માહિતીસભર વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે સંસ્કૃત પ્રદર્શની અને પુસ્તક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. અંતે, શ્રી ઝાપડિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભરત વઢેરે સમગ્ર કાર્યક્રમ અંતર્ગત માહિતી આપી હતી. આ ગીતા મહોત્સવનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં સંસ્કૃત, ગીતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેરણા જગાવવાનો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:48 pm

ગુજરાત રાજભવનનું નામ હવેથી ગુજરાત ‘લોકભવન':રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, 'લોકભવન’નું મૂળતત્ત્વ, જનતા સર્વોપરી

ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે 'લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરશે. ગુજરાત રાજભવનનું નામ હવેથી ગુજરાત ‘લોકભવન'‘લોક ભવન’ તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર માનનીય રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથી, પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિકારો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે. લોકકલ્યાણકારી પ્રયાસો હાથ ધરાયારાજ્યપાલએ ઉમેર્યું કે, છેલ્લા વર્ષોમાં ગુજરાત રાજભવન દ્વારા અનેક લોકકલ્યાણકારી પ્રયાસો હાથ ધરાયા છે, જેમ કે પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણનું મજબૂતીકરણ, યુવાનો અને શોધાર્થીઓ સાથે સંવાદ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને આદિવાસી વિકાસને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ. આ નિર્ણય રાજ ભવનના જનસેવાલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવશે. મહત્વનું છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યના ગ્રામ વિસ્તારની મુલાકાત લઈ રાત્રિ નિવાસ કરે છે. તેમજ ગામના અનુસુચિત જાતિ/જનજાતિ પરિવાર સાથે સાદું ભોજન તેમજ ગ્રામસફાઈ, પ્રાકૃતિક કૃષિ, વૃક્ષારોપણ અને ગામના સર્વાંગી વિકાસ માટે જનસંવાદ યોજી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:37 pm

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે:રૂ. 27.56 કરોડના ખર્ચે વડગામ, પાલનપુર, ડીસામાં નવી સુવિધાઓ મળશે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ. 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ લોકાર્પણ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ અને ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લા મુકશે. વડગામ ખાતે રૂ. 4 કરોડના અંદાજિત ખર્ચે 698.05 ચોરસ મીટર જમીન પર તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ લાઇબ્રેરીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સુવિધા પૂરી પાડવાનો છે. તેમાં 169 વિદ્યાર્થીઓની બેઠક ક્ષમતા ધરાવતી G+1 ઇમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ વિભાગો, કોન્ફરન્સ રૂમ અને 20 હજાર પુસ્તકો રાખવાની ક્ષમતા સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે રૂ. 9.20 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ હોલનો હેતુ બનાસકાંઠાના રમતવીરોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે યોગ્ય તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ વાતાનુકૂલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શૂટિંગ રેન્જ અને બોર્ડ ગેમ્સ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇન્ડોર હોલ ઉપરાંત, આ સંકુલમાં ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી આવશ્યક સુવિધાઓ પણ છે. આઉટડોર સુવિધાઓમાં 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાનનો સમાવેશ થાય છે. વધુમાં, એડમિન બ્લોક, સિક્યુરિટી કેબિન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાઈ છે, જે રમતવીરોને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પ્રદાન કરશે. નાયબ મુખ્યમંત્રી ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ 28,329 ચો.મી.જમીન પર કુલ રૂ.14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોન્ગ જંપ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ છે. આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે. આ રમત સંકુલ થકી ડીસા આજુબાજુ વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધાઓ પ્રદાન થશે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામનાર વિકાસ કાર્યો થકી બનાસકાંઠા જિલ્લામાં રમત ગમત, શિક્ષણ અને જાહેર સુવિધાઓમાં વધારો થશે. શિક્ષણ અને ખેલ ક્ષેત્રની આધુનિક સુવિધાઓ થકી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે. નાયબ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ વખતે રમત ગમત રાજ્ય મંત્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણ માળી, મંત્ર ડૉ જયરામ ગામીત સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:34 pm

પંચમહાલમાં મતદાર યાદી સુધારણામાં ગૂંચવણ:મતદારોને પડી રહેલી હાલાકી અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈએ કલેક્ટરને રજૂઆત કરી

પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મતદારોને પડી રહેલી હાલાકી અને બી.એલ.ઓ. સ્તરે જોવા મળતી વિસંગતતાઓને લઈને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ તા.1 ડિસેમ્બર, 2025ના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં મતદારોની પરેશાનીઓ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, મતદાર સુધારણા માટે બી.એલ.ઓ. દ્વારા આપવામાં આવતા ફોર્મ ભરવા બાબતે મતદારોમાં ગૂંચવણ પ્રવર્તી રહી છે. કેટલાક બી.એલ.ઓ. મતદારોને ફોર્મમાં માત્ર નામ અને પ્રથમ વિભાગ ભરવાનું કહે છે, જ્યારે અન્ય બી.એલ.ઓ. સંપૂર્ણ ફોર્મ ભરવાનો આગ્રહ રાખે છે. આ વિરોધાભાસી સૂચનાઓને કારણે મતદારો અટવાયા છે. આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા તમામ બી.એલ.ઓ.ને સ્પષ્ટ અને એકસરખી સૂચનાઓ આપવાની માંગ કરાઈ છે. વધુમાં, ઘણા કિસ્સાઓમાં બી.એલ.ઓ. પાસે નવા યુવા મતદારો માટેના પૂરતા ફોર્મ ઉપલબ્ધ હોતા નથી, જેના કારણે નવા મતદારો નોંધણીથી વંચિત રહી જાય છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ પૂરતી માહિતી કે માર્ગદર્શન ન મળતા યુવાનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રજૂઆતમાં ૨૦૦૨ની મતદાર યાદીના મુદ્દાને પણ ગંભીરતાથી ટાંકવામાં આવ્યો છે. અનેક વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાને કારણે ઓનલાઈન એપ્લિકેશન ખુલતી નથી, જેથી જૂની યાદીમાં નામ શોધવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને, જે મતદારો હાલ ગુજરાતમાં સ્થાયી થયા છે પરંતુ ૨૦૦૨માં પરપ્રાંતમાં હતા, તેમના નામ શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા સરળ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, જેથી મતદારોને પડતી હાલાકી દૂર કરી શકાય.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:31 pm

વલસાડ વકીલ મંડળની ચૂંટણી સમરસ થઈ:પ્રમુખ પદે પી.ડી. પટેલ સતત 24મી વખત બિનહરીફ, અન્ય હોદ્દેદારો પણ બિનહરીફ ચૂંટાયા

વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના હોદ્દેદારોની બે વર્ષની મુદત માટેની ચૂંટણી સમરસ થઈ છે. પ્રમુખ પદે પી.ડી. પટેલ સતત 24મી વખત બિનહરીફ ચૂંટાયા છે. આ ચૂંટણીમાં ઉપ-પ્રમુખ તરીકે રાકેશ બી. પટેલ, સેક્રેટરી તરીકે મનીષ રાણા, જોઈન્ટ-સેક્રેટરી તરીકે કમલેશ પરમાર, ટ્રેઝરર તરીકે દીપાબેન બુકસેલર અને ભરત પટેલ, લાયબ્રેરિયન તરીકે જયંતિ બી. પટેલ અને કિરણ એસ. લાડ, તેમજ ઈ-લાયબ્રેરિયન તરીકે પુનમસિંગ ઈન્ડા અને રોનક એચ. પટેલ પણ બિનહરીફ જાહેર થયા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર, રાજ્યના 272 બાર એસોસિયેશનની ચૂંટણી આગામી 19 ડિસેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી. આ સંદર્ભે, વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી.ડી. પટેલે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરી હતી. ચૂંટણી કમિશનર તરીકે બી.એન. વસાણી, ફારૂકભાઈ શેખ, નિષિદ્ધ મસરાણી, સચિનભાઈ દેસલે અને જીગ્નેશ મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન, ઉપરોક્ત હોદ્દેદારો સામે અન્ય કોઈ વકીલ મિત્રોએ ઉમેદવારીપત્ર ભર્યા ન હતા. પરિણામે, તમામ હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. પી.ડી. પટેલ છેલ્લા 24 વર્ષથી વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હાલના રૂલ્સ અને શિસ્ત કમિટીના ચેરમેન પણ છે. તેમની બિનહરીફ વરણીને જિલ્લાના વકીલોએ વધાવી લીધી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ મુજબ, મહિલા વકીલોને પ્રતિનિધિત્વ મળે તે હેતુથી લેડીઝ રિપ્રેઝન્ટેટિવની પોસ્ટ જાહેર કરવામાં આવી હતી. આ માટે મીનાક્ષીબેન વસાવા અને ફાલ્ગુનીબેન રાણાએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી કમિશનરો દ્વારા બંને મહિલા ઉમેદવારોને તક આપતાં, તેઓએ સહમતિથી સિનિયર એલ.આર. તરીકે મીનાક્ષીબેન વસાવા અને જુનિયર એલ.આર. તરીકે ફાલ્ગુનીબેન રાણાને જાહેર કર્યા હતા. આમ, વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની સમગ્ર ટીમ બિનહરીફ જાહેર થતાં, પ્રમુખ પી.ડી. પટેલે ચૂંટણી કમિશનરો અને જિલ્લાના વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:31 pm

GLS ફેકલ્ટી ઓફ લો ખાતે MCS ક્વિઝ ટીમનું સન્માન:5000નું રોકડ ઈનામ આપી સન્માનિત કરાયા, ભારતીય બંધારણ પર ક્વિઝનું આયોજન કરાયું હતું

GLS ફેકલ્ટી ઓફ લો દ્વારા 11/09/2025ના રોજ ભારતીય બંધારણ પર ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ સ્પર્ધામાં પ્રિ. એમ.સી. શાહ કોમર્સ કોલેજની ટીમ બીજા સ્થાને રહી હતી. તેમને પ્રમાણપત્રો અને રૂ. 5000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. ટીમમાં ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.1.હર્ષરાજ સોલંકી2.હર્ષરાજ રાઠોડ3.ધીરજ દિવાકરGLS યુનિવર્સિટીએ આ વર્ષે સંવિધાન સફર તરીકે ઉજવણી કરી હતી તેથી બંધારણ સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 29/11/2025ના રોજ ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે, આ વર્ષ દરમિયાનના તમામ વિજેતાઓને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અમારા વિદ્યાર્થીઓને તેમના પ્રયત્નોની સરાહના કરવામાં આવી હતી અને તેમનું ફરીથી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રો. હેતલ દોશી તથા પ્રો. બીના પટેલ એ કિવઝની તૈયારી કરવામાં વિદ્યાર્થીઓ ની મદદ કરી હતી. પ્રિ. ડો. એન. ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ આ ઇવેન્ટમાં વિધાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:25 pm

ભરૂચમાં વિશ્વ એઇડ્સ દિવસે જાગૃતિ અભિયાન:વર્ષ દરમિયાન 21 હજારથી વધુની HIV તપાસ કરાઈ, 164 પોઝિટિવ કેસ, નિશુલ્ક સારવાર ઉપલબ્ધ

દર વર્ષની જેમ 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એચઆઇવી વાયરસ સામે જાગૃતિ ફેલાવવા અને વહેલી સારવાર માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. માનવ શરીરમાં એચઆઇવી પ્રવેશ્યા પછી તેને સંપૂર્ણપણે દૂર કરવું મુશ્કેલ હોવાથી સમાજમાં જાગૃતિ અને સમયસર સારવાર અત્યંત જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં એઇડ્સ નિયંત્રણ માટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત દરેક જિલ્લામાં 'વાત્સલ્ય કેન્દ્રો' કાર્યરત છે. ભરૂચ જિલ્લામાં કુલ પાંચ આવા કેન્દ્રો છે: ભરૂચ સિવિલ હોસ્પિટલ, અંકલેશ્વર ખરોડ પીએચસી, આમોદ સીએચસી, વાગરા સીએચસી અને જંબુસર એસડીએચ. આ કેન્દ્રો પર તમામ પરીક્ષણ, માર્ગદર્શન અને સારવારની સુવિધાઓ નિશુલ્ક ઉપલબ્ધ છે. ભરૂચના કાઉન્સિલર હીરાભાઈ ગામીતે વર્ષ 2024-25ના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કુલ 21,442 લોકોની HIV તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 164 વ્યક્તિઓ HIV પોઝિટિવ મળી આવ્યા હતા. આ ઉપરાંત, 8,734 ગર્ભવતી મહિલાઓના ટેસ્ટમાં 12 મહિલાઓ HIV પોઝિટિવ નોંધાઈ હતી. તમામ HIV પોઝિટિવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને એઆરટી (એન્ટિરેટ્રોવાયરલ થેરાપી) સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર નિશુલ્ક દવાઓ અને સરકારી લાભોની સગવડ પૂરી પાડવામાં આવે છે. કાઉન્સિલર ગામીતે વધુમાં ઉમેર્યું હતું કે, HIV ટેસ્ટ માટે આવનાર દરેક વ્યક્તિની માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી અહીં બહારથી મોટી સંખ્યામાં કામદારો આવે છે. આવા વિસ્તારોમાં વાત્સલ્ય કેન્દ્રો દ્વારા હેલ્થ કેમ્પ, જાગૃતિ કાર્યક્રમો, પોસ્ટર પ્રદર્શન અને નુક્કડ નાટકો જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજી એઇડ્સ અંગે જાગૃતિ વધારવામાં આવી રહી છે. વિશ્વ એઇડ્સ દિવસના અવસરે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને નિઃસંકોચ HIV તપાસ કરાવવા અને જરૂરી સારવાર લેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:20 pm

પાટણ યુનિવર્સિટીમાં ગીતા જયંતીની ઉજવણી:પુસ્તક પ્રદર્શન યોજાયું, ગીતાને મોક્ષનો માર્ગ અને મનુષ્યત્વ પ્રાપ્તિનું માધ્યમ ગણાવાઈ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પુસ્તકાલય દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગીતા આધારિત પુસ્તક પ્રદર્શન પણ યોજાયું હતું. કાર્યક્રમમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. દેવુસિંહ રાઠવા અને યુનિવર્સિટીના કુલસચિવ ડો. રોહિત દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. દેવુસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, ગીતા માત્ર કોઈ ધાર્મિક પુસ્તક નથી, પરંતુ મનુષ્યત્વ પ્રાપ્ત કરાવનાર માર્ગદર્શિકા છે. તે મોક્ષનો માર્ગ દર્શાવે છે. તેમણે ભારતીય સંસ્કૃતિના આધાર 'વસુધૈવ કુટુમ્બકમ' અને ધર્મ, અર્થ, કામ, મોક્ષના આધાર તરીકે ગીતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રો. રાઠવાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગીતા આત્માને પરમાત્મા તરફ દોરી જાય છે. જે લોકો સંસ્કૃત ભાષા સમજે છે, તેઓ સંસ્કૃતિના ગૂઢાર્થ અને રહસ્યોને પણ પામે છે, જેનાથી આખરે મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. તેમણે વેદ, બ્રાહ્મણ ગ્રંથ, અરણ્ય ગ્રંથ અને ઉપનિષદોના જ્ઞાન વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું કે, ગીતાનો પ્રથમ અક્ષર 'ધ' અને છેલ્લો અક્ષર 'મ' છે, જે ધર્મનો મર્મ દર્શાવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણનો માનવજાત માટેનો સંદેશ છે. યુનિવર્સિટીના કુલસચિવ ડો. રોહિત દેસાઈએ વિદ્યાર્થીઓને ગીતા જયંતીના મહત્વ અને ગીતાના સંદેશ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગીતા શાશ્વત છે અને કોઈપણ પરિસ્થિતિમાં માર્ગદર્શન પૂરું પાડે છે. તે આપઘાતના વિચારો દૂર કરવામાં મદદરૂપ થાય છે, તેથી વિદ્યાર્થીઓએ તેનો અભ્યાસ કરવો જોઈએ. આ પ્રસંગે ગીતા જ્ઞાન આધારિત વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ખાસ કરીને 'બોલતી ગીતા'નું પુસ્તક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમમાં ગ્રંથપાલ ડો. રજનીભાઈ પટેલ, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. કમલભાઈ મોઢ, આસી. ગ્રંથપાલ ડો. કનકબાળા જાની, વિવિધ વિભાગના અધ્યાપકો અને મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:15 pm

વલસાડમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી:VDNP+ દ્વારા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું

વલસાડ જિલ્લામાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એચઆઇવી પોઝિટિવ લોકોના હિત માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા VDNP+ દ્વારા આ કાર્યક્રમો યોજાયા હતા. VDNP+ સંસ્થા 19 જૂન, 2008 થી ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ વિથ એચઆઇવી એઇડ્સના સહયોગથી કાર્યરત છે. હાલમાં, તે વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટર સહિતના વિવિધ પ્રોજેક્ટ દ્વારા એચઆઇવી સાથે જીવન જીવતા લોકો માટે હિમાયત, જોડાણ સેવાઓ, કાનૂની સહાય, સોશ્યલ એન્ટાઈટલમેન્ટ અને સપોર્ટ ગ્રુપ મીટિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે. વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર આયુષ વર્મા, ડીડીઓ અતિરાગ ચપલોત, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. ભાવેશ ગોયાણી, એઆરટી સેન્ટરના નોડલ ઓફિસર ડો. ચિરાગ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા. VDNP+ ના પ્રમુખ પરેશ પટેલ, ડીએલએન સભ્યો, વિહાન પ્રોજેક્ટ સ્ટાફ તથા સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર બીજલ પટેલ અને તેમની ટીમે લેબર વર્ક ડિપાર્ટમેન્ટ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં એચઆઇવી પોઝિટિવ ભાઈ-બહેનો દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. VDNP+ દ્વારા એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓના લગ્નને પ્રોત્સાહન આપવા માટે પણ વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:08 pm

રાજકોટમાં લગ્નગાળો પુરજોશમાં:મનપાના 28 હોલમાં ફેબ્રુઆરી 2026 સુધી હાઉસફુલ, વ્યાજબી ભાડાને લઈ મધ્યમવર્ગની પહેલી પસંદ બન્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લગ્નગાળાની ધમધોકાર સીઝન ચાલી રહી છે, જેમાં જાન્યુઆરીના મધ્યમાં સંક્રાંતિ સાથે આવનારા કમુહૂર્તા બાદ ફરી લગ્નની સિઝન જોર પકડશે. લગ્નના આ માહોલમાં મધ્યમવર્ગીય પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ આશીર્વાદરૂપ સાબિત થયા છે. રૂ. 2,000થી લઈ રૂ. 35,000 જેવા વ્યાજબી ભાડા અને જરૂરી તમામ સુવિધાઓને કારણે આ હોલની માંગ એટલી વધી ગઈ છે કે, આવનારા બે મહિના એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026 સુધીમાં 28 પૈકીના 26 હોલમાં 373થી વધુ પ્રસંગોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. મહાપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 28 કોમ્યુનિટી હોલ કાર્યરત કરવામાં આવ્યા છે. મધ્યમવર્ગના પરિવારો માટે આ હોલ બુક કરાવવાની દોડધામનું મુખ્ય કારણ તેનું અત્યંત વ્યાજબી ભાડું છે. જૂના હોલના ભાડા તો ખૂબ જ સસ્તા છે, પરંતુ છેલ્લા વર્ષોમાં બનેલા નવા કોમ્યુનિટી હોલ પણ ખાનગી હોલ, પાર્ટી પ્લોટ કે ઓડિટોરીયમની સરખામણીએ અનેકગણા સસ્તા પડે છે. સસ્તા ભાડામાં પ્રસંગને અનુરૂપ તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થતી હોવાથી, ખાનગી સ્થળોએ મોટી રકમ ચૂકવવાને બદલે લોકો મનપાના હોલને પ્રાધાન્ય આપી રહ્યા છે. મનપાની જોગવાઈ મુજબ, દરેક પરિવારે પોતાના પ્રસંગ માટે 90 દિવસ પહેલા બુકિંગ કરાવવું ફરજિયાત છે. છેલ્લા ત્રણ માસના બુકિંગના આંકડાઓ દર્શાવે છે કે, આ તમામ હોલ સતત ફૂલ રહ્યા છે. કમુહૂર્તા બાદ થનારા લગ્નો તેમજ ફેબ્રુઆરીમાં પણ અનેક લગ્નયોગો હોવાના કારણે બે મહિનાનું એડવાન્સ બુકિંગ તા. 30 નવેમ્બર સુધીમાં જ પૂર્ણ થઈ ગયું છે. આ 28 કોમ્યુનિટી હોલમાં સૌથી વધુ ડિમાન્ડ જે હોલની જોવા મળી રહી છે, તેમાં પારડી રોડ પર આવેલો આનંદનગર કોમ્યુનિટી હોલ, સંતકબીર રોડ પરનો મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ અને યુનિવર્સિટી રોડ પર આવેલો કવિ અમૃત ઘાયલ હોલ મુખ્ય છે. મનપાનાં હોલમાં થયેલા કુલ બુકિંગની વાત કરીએ તો 28 લગ્ન હોલ અને તેના યુનિટોમાં કુલ 373 બુકિંગ થઈ ચૂક્યા છે. ગુરુ પ્રસાદ ચોક ખાતે આવેલા વસંતરાય ગઢકર કોમ્યુનિટી હોલના યુનિટ-1માં 9 અને યુનિટ-2માં 16 બુકિંગ નોંધાયા છે. માયાણી ચોક ખાતેના પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલમાં 18 અને મનસુખભાઇ ઉધાડ કોમ્યુનિટી હોલમાં 8 બુકિંગ થયા છે. જીલ્લા ગાર્ડન ચોક પાસેના ડો. આર્બેડકર કોમ્યુનિટી હોલમાં 25 બુકિંગ થયા છે. વિજય પ્લોટ પાસેનો અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ અને કોઠારિયા રોડ પરનો વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ વિશે ચોક્કસ આંકડો જાહેર થયો નથી. ગાયકવાડી વિસ્તારમાં આવેલા ગુરુનાનક કોમ્યુનિટી હોલમાં 15 બુકિંગ થયા છે. પારડી રોડ પરનો આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ-1માં 29 અને યુનિટ-2માં 27 બુકિંગ સાથે સૌથી વધુ ડિમાન્ડમાં રહ્યો છે. 24-જાગનાથ પ્લોટ ખાતેના એક્લવ્ય કોમ્યુનિટી હોલ, રૈયા રોડ પરના ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ તેમજ ધરમનગર આવાસ યોજના ખાતેના નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ (4 બુકિંગ) અને નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ (2 બુકિંગ)માં પણ બુકિંગ થયા છે. યુનિવર્સિટી રોડ પર એસ.એન.કે. સ્કૂલ સામે આવેલા કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલના યુનિટ-1માં 17 અને યુનિટ-2માં 10 બુકિંગ નોંધાયા છે. બાપા સિતારામ ચોકના અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલના યુનિટ-1માં 19 અને યુનિટ-2માં 13 બુકિંગ થયા છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલના યુનિટ-1 માં 25 અને યુનિટ-2માં 23 બુકિંગ થયા છે. 80 ફૂટ રોડ પરના મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલના યુનિટ-1માં 18 અને યુનિટ-2માં 16 બુકિંગ થયા છે. સંતકબીર રોડ પરના મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલમાં 26 બુકિંગ નોંધાયા છે. કોઠારીયા રોડ પરના કાંતીભાઇ વૈદ કોમ્યુનિટી હોલમાં 14 બુકિંગ થયા છે. મોરબી રોડ વિસ્તારમાં આવેલા નવનિર્મિત કોમ્યુનિટી હોલના યુનિટ-1માં 14 અને યુનિટ-2માં 16 બુકિંગ થયા છે. વાવડી વિસ્તારમાં આવેલા રંજનબેન રાવળ કોમ્યુનિટી હોલના યુનિટ-1 અને યુનિટ-2 વિશે કોઈ આંકડો નથી, પરંતુ યુનિટ-3માં 3 બુકિંગ થયા છે. ઉલ્લેખનીય છે કે, મનપાનાં તમામ કોમ્યુનિટી હોલમાં એસી, પાર્કિંગ સહિતની તમામ જરૂરી સુવિધાઓ છે. આમ છતાં તેના ભાડા રૂ. 2,000થી રૂ. 35,000 જેવા હોય છે. ખાનગી પાર્ટી પ્લોટ કે હોલનાં ભાડા રૂ. 1 લાખ જેટલા હોવાથી મધ્યમવર્ગીય પરિવારો મનપાનાં હોલનું બુકીંગ કરવાનું પસંદ કરી રહ્યા છે. વ્યાજબી દરે ઉત્તમ સુવિધા પૂરી પાડતા હોલને લઈ લગ્નગાળામાં પરિવારોનો મોટો ખર્ચ બચી રહ્યો છે અને આ સુવિધાઓ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:06 pm

ચેક રિટર્ન કેસનો ફરાર આરોપી જોશીપરાની સોસાયટી પાસેથી ઝડપાયો:નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 2.51 લાખનો દંડ અને 18 મહિનાની કેદની સજા થઈ છે

​જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લામાં નાસતા-ફરતા અને સજા વોરંટમાં ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ વોચ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. પટેલ અને પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આરોપી જોશીપરા, સુદામાપુરી સોસાયટી પાસેથી ઝડપાયો​પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે માહિતી મળી કે, મેંદરડાની મુખ્ય સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના ફોજદારી કેસમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138 મુજબના ગુનામાં સજા પામેલો આરોપી છેલ્લા દોઢેક વર્ષથી ફરાર હતો. આ આરોપી જેન્તીભાઇ ગોરધનભાઇ રાખશીયાને બી ડિવિઝન પોલીસે જૂનાગઢના જોશીપરા, સુદામાપુરી સોસાયટી ઝડપી પાડવામાં આવ્યો. 2.51 લાખનો દંડ અને સજા થઈ છેકોર્ટ દ્વારા જેન્તીભાઇ રાખશીયાને રૂપિયા 2,51,400 રોકડા ભરવા અને 18 માસની સાદી કેદની સજા કરવામાં આવી હતી. આ સજા વોરંટમાં ફરાર આરોપીને પકડવા માટે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.બી ડિવિઝન પોલીસે આરોપીને પકડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​આ સફળ કામગીરીમાં પીઆઈ જે.જે. પટેલ, એ.એસ.આઇ. એસ.એસ. પરમાર, પો. હેડ કોન્સ્ટેબલ પી.બી. હુણ, એન.આર. શીંગરખીયા, પો. કોન્સ્ટેબલ રોહિતભાઇ હડીયા, રઘુવીરભાઇ વાળા અને મનીષભાઇ હુંબલ સહિતના સ્ટાફે સારી કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:03 pm

મોતની REELના બીજા દિવસે માથું કપાયું:ટેકાના ભાવે મગફળીની ખરીદીનાં ચાર કેન્દ્ર બંધ, સુરતમાં BRTS બસ બ્રિજ નીચે પડતાં પડતાં રહી ગઈ

આજથી બિલ્ડર-ડેવલપર માટે નવા નિયમો લાગુ રાજ્યમાં આજથી બિલ્ડર-ડેવલપર માટે નવો નિયમ લાગુ.. બાંધકામ પ્રોજેક્ટની માહિતીનું બેનર QR કોડ સાથે લગાવવું ફરિજયાત થશે.. સાઇટ પર સફેદ કે પીળા બોર્ડમાં રેરા રજિસ્ટ્રેનશન-બેંક ખાતાની વિગત લાલ રંગથી લખવી જરૂરી રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દરેક હિન્દુ ત્રણ સંતાન પેદા કરે - પ્રદીપ્તાનંદ સરસ્વતી ભૂજમાં ગીતા જયંતી મહોત્સવના કાર્યક્રમમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી હિન્દુઓને ખાસ આહ્વાન કર્યું. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો સંકલ્પ લે એના જ લગ્ન કરવા. ત્રણ સંતાનની ના કહે તેને લગ્નનનો સંકલ્પ નહીં લેવડાવવાનો. એક જગ્યાએ સંખ્યા વધી જાય અને એક જગ્યાએ સંખ્યા ઘટી જાય તો એનો ઉપાય આપણે કરવાનો છે જે ઉપાય આપણે શોધી કાઢ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો UCC કમિટીને પડકારતા ચુકાદા સામેની અપીલ રદ રાજ્યમાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના અમલીકરણ માટે બનેલી કમિટીને પડકારતા સિંગલ જજના ચુકાદા સામેની અપીલ હાઈકોર્ટે રદ કરી. અરજદારે દાવો કર્યો હતો કે કમિટી કોઈ જાહેરનામા વગર બનાવી દેવાઈ છે. કોર્ટે કહ્યું કે રાજ્યના રાજ્યના એક્ઝિક્યુટિવ કાર્યોનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે નહીં, રાજ્ય સરકાર પાસે કમિટી રચવાનો પાવર છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બ્રિજ નીચેથી પડતા પડતા બચી BRTS સુરતના સહારા દરવાજા નજીક ફ્લાય ઓવર પર બીઆરટીએસ બસ રેલિંગમાં અથડાઈ. ભયંકર ટક્કરમાં બસ માંડ માંડ બ્રિજ નીચે પડતા બચી. ઘડી ભર માટે તો મુસાફરોએ બુમાબુમ પણ કરી મુકી. જો કે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અને એક મોટી દુર્ઘટના ટળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફાયર વિભાગની ભરતીમાં કૌભાંડ થવાનો આક્ષેપ એએમસીના ફાયર વિભાગમાં ભરતી કૌભાંડ થવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો.આસિસ્ટન્ટ સ્ટેશન ઓફિસરોની ભરતી લેખિત પરીક્ષા સિવાય માત્ર ઇન્ટરવ્યૂ લઈને કરાશે. જેથી કોંગ્રેસે આમાં ઈન્ટરવ્યુ રદ કરવાની અને લેખિત પરીક્ષા લેવાની માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અજાણ્યા વાહનની ટક્કરે 19 વર્ષના યુવકનું મોત અમદાવાદના એસ.જી. હાઈવે પર 19 વર્ષના યુવક સાથે હિટ એન્ડ રન..બાઈક પર સવાર કથન ખડાયતાને નિરમા યુનિવર્સિટી પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તથ્ય પટેલ સામે આજથી ટ્રાયલ શરુ થઈ ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે આજથી ટ્રાયલ શરૂ કરાઈ. જો કે અકસ્માતનો સાક્ષી નાદુરસ્ત તબિયતનું કારણ આપી જુબાની ન આપી શક્યો.કોર્ટે સાક્ષી પાસ સ્પષ્ટતા કરી કે તેને કોઈ ધમકી તો નથી આપી રહ્યું ને. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટેકાના ભાવે મગફળી ખરીદીના ચાર કેન્દ્રો બંધ ગોંડલમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના ચાર કેન્દ્રો આજે બંધ રખાયા. આમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા ખેડૂતને માર મરાયો હતો.ખેડૂતની ફરિયાદ ન લેવાતા જીગીષા પટેલે એસપીને રજૂઆત કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોએરપોર્ટ પરથી ઝડપાયો કરોડોનો ગાંજો અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પરથી ઝડપાયો 3 કરોડનો હાઈબ્રીડ ગાંજો..થાઈલેન્ડથી આવેલા પ્રવાસીએ સ્કેનરમાં ડ્રગ્સ સ્કેન ન થાય તે માટે પેકેટ ફરતે કાર્બન પેપર લગાવ્યા હતા. ખાસ હેરાફેરી માટે બનાવેલી બેગ ખોલવા પોલીસને કારીગર બોલાવવો પડ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોતની રિલ બનાવ્યાના બીજા દિવસે માથું ધડથી અલગ સુરતમાં 18 વર્ષના ઈન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં મોત.. ફૂલ સ્પીડમાં બ્રેડ લાઈનર બ્રિજ પરથી નીચે ઉતરતા પ્રિન્સનું બાઈક જોરદાર ધડાકા સાથે ડિવાઈડર સાથે ભટકાયું.. અને તેનું માથું ધડથી અલગ થઈ ગયુ,, રસ્તા પર માસના ટુકડા વિખેરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 6:00 pm

પાટણ LCBએ દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપ્યો:રાધનપુરના ચલવાડામાં રેલવે ફાટક પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી, 53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પાટણ LCBએ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચલવાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹53,65,248/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી પાટણ જિલ્લા પોલીસની પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દૂર કરવાની સૂચનાના આધારે કરવામાં આવી હતી. એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ચલવાડા ગામની સીમમાં રેલવે ફાટક નજીક આવેલી પડતર જગ્યામાં રાત્રિ દરમિયાન ટ્રક કે આઇસર જેવી ગાડીમાં વિદેશી દારૂ લાવીને તેનું ગેરકાયદેસર 'કટિંગ' થવાનું હતું. આ બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેડ કરી હતી. રેડ દરમિયાન આઇસર ગાડીમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હોવાનું જણાયું હતું. રાત્રિના અંધારાનો લાભ લઈને આઇસર ગાડીમાંથી દારૂનો મુદ્દામાલ સ્કોર્પિયો, ઇકો અને બોલેરો જેવી અન્ય ગાડીઓમાં હેરાફેરી (કટિંગ) કરવામાં આવી રહ્યો હતો. પોલીસની રેડ દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 9,658 બોટલ/ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹21,65,248/- થાય છે. આ ઉપરાંત, પોલીસે 4 વાહનો (એક આઇસર, એક ઇકો ગાડી, એક પીકઅપ ડાલુ અને એક સ્કોર્પિયો ગાડી) જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત ₹32,00,000/- છે. સ્થળ પરથી 50 પ્લાસ્ટિકના કેરેટ પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસ રેડ દરમિયાન વાહન ચાલકો અને અન્ય સંડોવાયેલા ઇસમો રાત્રિના અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે કુલ ₹53,65,248/- નો મુદ્દામાલ જપ્ત કરીને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. નાસી છૂટેલા ઇસમો તેમજ તપાસમાં સામેલ થનાર તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે એલ.સી.બી. પાટણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:56 pm

ગિરનાર જંગલમાં વન્યજીવોના અસ્તિત્વ પર ખતરો:હરણ પ્લાસ્ટિક ખાતાનો વીડિયો વન વિભાગ પર સવાલો, પ્લાસ્ટિક પ્રતિબંધની માત્ર વાતો, પરિણામ શૂન્ય, પ્રકૃતિ પ્રેમીએ વન મંત્રીને કર્યું ટ્વીટ

ગુજરાતના ગૌરવ સમા ગિરનારના જંગલ વિસ્તારમાં વસતા વન્યજીવોના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ પર મોટો ખતરો ઊભો થયો છે. જંગલની આસપાસના રહેણાંક વિસ્તારો અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલાઓ યથાવત રહેતા, ભૂખ્યા પ્રાણીઓ આ ઝેરી કચરો ખાવા મજબૂર બન્યા છે. પ્રકૃતિ પ્રેમી જયદીપ ઓડેદરાએ તાજેતરમાં એક વીડિયો કેદ કર્યો છે, જેમાં ગિરનાર જંગલ નજીક એક હરણ પ્લાસ્ટિકના ઢગલામાંથી કંઈક ખાતું સ્પષ્ટ જોવા મળે છે, જેના કારણે વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. હરણ પ્લાસ્ટિક ખાતું હોવાનો વાયરલ વીડિયો અને વન મંત્રીને ટ્વીટપ્રકૃતિ પ્રેમી જયદીપ ઓડેદરાએ આ ભયાનક દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ વન્યજીવ સંરક્ષણની વાતો પોકળ સાબિત થઈ છે. જયદીપ ઓડેદરાએ આ વીડિયો વન મંત્રી અર્જુન મોઢવાડિયાને ટ્વિટ કરીને તેમનું ધ્યાન દોર્યું હતું. 'વન્ય જીવ પ્રાણીઓ પ્લાસ્ટિકના ઢગલામાંથી કચરો ખાઈ રહ્યા છે'ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે આપણી પ્રાણીઓ પ્રત્યે સંવેદના જોઈ આપનું ફરી ધ્યાન દોરવાનું મન થાય છે. આવા પ્લાસ્ટિક કચરાના ઢગલા ભવનાથ અને આજુબાજુના વિસ્તારમાં સંખ્યાબંધ છે જ્યાં સતત વન્યજીવોની અવરજવર રહે છે. આ વીડિયો ભવનાથથી લાલ ઢોરી જતાં માર્ગ પર મારા દ્વારા શૂટ કરેલ છે. ભવનાથથી લાલ ઢોરી તરફ જતાં રસ્તા પર વન્ય જીવ પ્રાણીઓ પ્લાસ્ટિકના ઢગલામાંથી કચરો ખાઈ રહ્યા છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે વન વિભાગ વારંવાર ગિરનાર વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ અને સંરક્ષણની સુફિયાણી વાતો કરે છે. આ પણ વાંચો:ગિરનારનાં હરણ પ્લાસ્ટિક ખાતાં હોવાનો વીડિયો વાઇરલ:વન વિભાગના અધિકારીની લોકોને 'સુફિયાણી સલાહ' જો મંત્રીના આદેશથી કાર્યવાહી થતી હોય તો કાયમી ઉકેલ શું?જયદીપ ઓડેદરાએ અગાઉ બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા નીચલા દાતાર વિસ્તાર નજીકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં પણ એક હરણ કચરાના ઢગલામાં પડેલું પ્લાસ્ટિક ખાતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તે સમયે આ વીડિયો વન મંત્રી અર્જુન મોઢવાડિયાના ધ્યાને આવતા તેમણે કોર્પોરેશનને તાત્કાલિક આદેશ આપીને, જે જગ્યા પર હરણ પ્લાસ્ટિક ખાતું હતું તે જગ્યાને સાફ કરાવી હતી. એટલું જ નહીં, પ્લોટ માલિકને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો મંત્રીના આદેશથી એક વખત કાર્યવાહી થઈ શકતી હોય, તો વન વિભાગ વારંવાર સામે આવતી આવી ઘટનાઓ પર કાયમી ઉકેલ શા માટે લાવતું નથી ? સુરક્ષા-સાવચેતીના કોઈ બોર્ડ નથીઆ વિસ્તારમાં વારંવાર વન્યજીવોના વીડિયો વાયરલ થયા હોવા છતાં, પરિણામ શૂન્ય રહ્યું છે. પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં લોકો કે પ્રાણીઓને લઈ સુરક્ષા-સાવચેતીના કોઈ બોર્ડ લગાવવામાં આવતા નથી. જ્યારે પણ આવા વીડિયો વાયરલ થાય છે, ત્યારે વન વિભાગ માત્ર લોકોને જાગૃત કરવા અને સંદેશ આપવા પૂરતું જ કાર્ય કરે છે. પ્રકૃતિ પ્રેમીઓમાં રોષવન વિભાગ ગિરનાર જંગલ અને ભવનાથ ક્ષેત્રમાં પડેલા કચરાના ઢગલાઓ હટાવવાને યોગ્ય સમજતું નથી, જેને લઈ પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જંગલ વિસ્તારમાં સિંહ, દીપડા અને હરણ જેવા પ્રાણીઓનો વસવાટ છે. એક તરફ સરકાર દ્વારા ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની વાતો આવે છે, તો બીજી તરફ વારંવાર સામે આવતા આવા વીડિયો વન વિભાગની નિષ્ફળતાને સાબિત કરે છે. વન વિભાગ શા માટે યોગ્ય કાર્યવાહી કરતું નથી?વારંવાર સામે આવતા હિંસક પ્રાણીઓ અને તૃણાહારી પશુ કે પ્રાણીઓને લઈ વન વિભાગ શા માટે યોગ્ય કાર્યવાહી કરતું નથી? આ બેદરકારી વન્યજીવ સૃષ્ટિ માટે ખતરનાક છે, કારણ કે પ્લાસ્ટિકના કણો પ્રાણીઓના પેટમાં જવાથી તેમના જીવ જોખમમાં મૂકાય છે. વન વિભાગે માત્ર વાતો કરવાને બદલે, ઇકોઝોનમાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે દિશામાં કડક અને કાયમી પગલાં લેવા અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:55 pm

વડોદરાના જાંબુવા પાસે ઝાડ સાથે કંકાલ જેવી હાલતમાં લટકતી લાશ:કંકાલ જેવી હાલતમાં ડેડબોડી મળતા પોલીસ દોડી ગઈ, હત્યા કે આત્મહત્યા

વડોદરાના જાંબુવા ગામ પાસે અવાવરુ જગ્યાએથી ઝાડ સાથે લટકેલી હાલતમાં લાશ મળી છે. આપઘાત કર્યો હોવાની આશંકા છે. આ લાશ એક મહિના જૂની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. આ અંગે જાણ થતાં મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલાયો છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:50 pm

પાટણ LCBએ સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો:8.64 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા

પાટણના નવા બસ સ્ટેશન ખાતે 25 નવેમ્બર, 2025ના રોજ એક મહિલાના પર્સમાંથી આશરે 6.5 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. અંજાર જતી બસમાં ચઢતી વખતે ભીડનો લાભ લઈને આ ચોરી થઈ હતી, જેની અંદાજિત કિંમત ₹6,83,160/- હતી. આ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પાટણ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમો બનાવવામાં આવી હતી. નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરતાં, ચોરીના દિવસે લાલ સ્વેટર અને મહેંદી કલરની સાડી પહેરેલી બે મહિલાઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. સી.સી.ટી.વી. ફૂટેજમાં જણાયું કે, આ મહિલાઓ પાટણ ડેપોમાં બેચરાજી-થરાવાળી બસમાંથી ઉતરી હતી અને પછી અંજાર જતી બસની ભીડમાં પ્રવેશી હતી. ચોરી કર્યા બાદ, તેઓએ ચોરાયેલું બોક્સ એક થેલીમાં છુપાવી પાટણથી બેચરાજી જતી બસમાં ચઢીને નીકળી ગઈ હતી. વધુ તપાસમાં તેઓ મોઢેરા ગામ બસ સ્ટેશન ખાતે ઉતરી, રીક્ષામાં બેસી મહેસાણાના દેદીયાસણ જી.આઈ.ડી.સી. નજીક પહોંચી હોવાનું સામે આવ્યું. હ્યુમન સોર્સ, ટેકનિકલ રિસર્ચ અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે, પોલીસે મહેસાણા શહેર કસ્બા ખાતે રહેતા લક્ષ્મીબેન કલ્યાણભાઇ દેવીપુજક, ભારતીબેન રાજેન્દ્રભાઇ દંતાણી અને કલ્યાણ કનુભાઇ દેવીપુજકને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંને મહિલાઓએ 25 નવેમ્બર, 2025ના રોજ પાટણ બસ ડેપોમાં એક મહિલાના થેલામાંથી સોનાના દાગીનાનું બોક્સ ચોર્યાની કબૂલાત કરી હતી. તેઓ ભીડનો લાભ લઈને થેલાની ચેન ખોલીને ધક્કામુક્કી કરીને ચોરી કરતા હતા. આરોપીઓની ગુનો આચરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) એ છે કે તેઓ બજાર, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવી ભીડવાળી જગ્યાઓમાં કટરનો ઉપયોગ કરીને લોકોના થેલા કે ખિસ્સામાંથી કીમતી સામાન ચોરી કરે છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ ₹7,50,752/-ની કિંમતનો સોનાનો હારનો સેટ, સોનાની બુટ્ટી (બે જોડ) અને સોનાનું મંગળસૂત્ર કબજે કર્યું છે. આ ઉપરાંત, ₹62,569/- રોકડ, નેપાળ, ઓમાન અને સાઉદી અરબની ચલણી નોટો, ત્રણ મોબાઈલ ફોન (કિં. ₹1,500/-), એક રીક્ષા (કિં. ₹50,000/-) અને એક કટર (કિં. ₹10/-) સહિત કુલ ₹8,64,831/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓને પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:49 pm

દાહોદમાં વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ રેલી યોજાઈ:અર્બન હોસ્પિટલ દ્વારા “એઈડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવો” થીમ પર આયોજન

દાહોદમાં વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બન હોસ્પિટલ રળિયાત દ્વારા દિશા-ડાપકુ પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ આ રેલી યોજાઈ હતી. આ વર્ષની વૈશ્વિક થીમ “એઈડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવો, વિક્ષેપ દૂર કરો” હતી. HIV/AIDS વિશે જનજાગૃતિ ફેલાવવા અને દર્દીઓને સહાનુભૂતિ તથા સહકાર આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. રેલીને સવારે અર્બન હોસ્પિટલ પરિસરમાંથી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, ટીબી–એચઆઈવી અધિકારી ડૉ. આર. ડી. પહાડિયા, અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી સંદીપ શેઠ અને સંસ્થાના મંત્રી તથા પ્રોજેક્ટ ડિરેક્ટર નીરેન શાહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી રળિયાતીથી શરૂ થઈ માર્કેટયાર્ડ, દોલતગંજ બજાર, નગરપાલિકા, ભગીની સમાજ, ઝાયડસ હોસ્પિટલ માર્ગે આગળ વધી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. આ દરમિયાન “એઈડ્સ થી ડરો નહીં, જાગૃત રહો”, “સુરક્ષિત વર્તન અપનાવો” અને “HIV પીડિતોને અપનાવો” જેવા સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ રેલીમાં દિશા-ડાપકુ પ્રોજેક્ટનો તમામ સ્ટાફ, એસ. આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ કે. એ. લતા તથા વિદ્યાર્થીઓ, લિંક વર્કર સ્કીમના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમથી શહેરના મુખ્ય વિસ્તારોમાં HIV/AIDS વિશેની માહિતી, તેના સંક્રમણ રોકવાના ઉપાયો અને દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિનો સંદેશો વ્યાપક રીતે પ્રસારિત થયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:44 pm

આ વર્ષે કેસર કેરી માટે જોવી પડશે લાંબી રાહ!:નવેમ્બર પૂરો છતાં આંબામાં મોર ન ફૂટ્યા, બજારમાં કેરી મોડી અને મોંઘી મળવાના એંધાણ; જાણો જવાબદાર કારણો

ગીર પંથકની ‘મેંગો ક્વીન’ તરીકે ઓળખાતી કેસર કેરીની દર વર્ષે લાખો લોકો રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ આ વર્ષે ગીરની આ પ્રખ્યાત કેરીની સીઝન મોડી શરૂ થાય એવી સંભાવનાઓ છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના બાગાયતી પંથકમાં આ વર્ષે આંબાના બગીચાઓમાં નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છતાં ફ્લાવરિંગ (મોર) હજુ સુધી આવ્યા નથી. ખેડૂતોના મતે છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે કમોસમી વરસાદ-માવઠાથી પાક બગાડતો આવ્યો છે ત્યારે આ વર્ષે પણ માવઠાની સ્થિતિ સર્જાતા ખેડૂતો બાગાયતી પાક માટે સરકાર પાસે યોગ્ય વળતરની રાહ જોઈ રહ્યા છે. 5 વર્ષથી કમોસમી વરસાદને કારણે કેરીનો પાક બગડે છેઆંબાની ખેતી કરતા જૂનાગઢના એક ખેડૂતે આ ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે કમોસમી વરસાદ અને અણધાર્યા માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ વર્ષે પણ વાતાવરણના ફેરફારોથી પાક નિષ્ફળ જવાની ગંભીર ભીતિ છે. તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે ડિસેમ્બરની શરૂઆતમાં આંબામાં મોર આવી જતા હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી મોર દેખાયા નથી. ટૂંક સમયમાં ઝાકળ અને તડકાનું મિશ્રણ થતાં મોડું ફૂલ આવશે અને નાની કેરીઓ બંધાશે, પરંતુ વાતાવરણની અનિશ્ચિતતાને કારણે આ નાની કેરીઓ ખરી પડી જવાની સંભાવના છે. ખેડૂત પીઠીયાએ સરકાર સમક્ષ માગ કરી છે કે, છેલ્લા પાંચ વર્ષથી સતત થઈ રહેલા આ નુકસાનને ધ્યાને લઈને બાગાયતી ખેતી, ખાસ કરીને આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે. કૃષિ યુનિવર્સિટીના બગીચાઓમાં પણ હજી સુધી મોર આવ્યો નથીસામાન્ય રીતે સોરઠ પંથકમાં નવેમ્બર મહિનાના 15 દિવસ બાદ આંબામાં મોર આવવાનું શરૂ થઈ જતું હોય છે પરંતુ, છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરો જોવા મળી રહી છે. આ વર્ષે પણ નવેમ્બર પૂરો થઈને ડિસેમ્બર શરુ થઈ જવા છતાં આંબામાં ફ્લાવરિંગ ન આવતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, કૃષિ યુનિવર્સિટીના બગીચાઓમાં આવેલા આંબાઓમાં પણ હજી સુધી મોર આવ્યો નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે, સમગ્ર પંથકમાં કેરીના ઉત્પાદન પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આંબાને ફ્લાવરિંગ માટે યોગ્ય તાપમાન મળી રહ્યું નથીકૃષિ યુનિવર્સિટીના બાગાયત મહાવિદ્યાલયના ડીન ડો. બી.કે. વરૂએ જણાવ્યું હતું કે, આ વર્ષે આંબામાં સમયસર ફ્લાવરિંગ ન આવવા પાછળ મુખ્યત્વે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. સામાન્ય રીતે નવેમ્બરના અંત સુધીમાં મોર આવી જતા હોય છે, પરંતુ આ વખતે બે મુખ્ય વૈજ્ઞાનિક કારણો અવરોધરૂપ બન્યાં છે. પ્રથમ, આંબાને ફ્લાવરિંગ માટે દિવસનું 25 ડિગ્રી અને રાત્રે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર હોય છે, જે હાલ મળી રહ્યું નથી. બીજું કારણ વરસાદી સીઝનનું લાંબુ ખેંચાણ છે – સામાન્ય રીતે ઓગસ્ટના અંતમાં વરસાદ બંધ થઈ જતાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આંબાને અઢી મહિનાનો આરામ મળે છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ વરસાદ પડતાં વૃક્ષને જરૂરી ઠંડક અને ડોર્મન્સી પિરિયડ મળ્યો નથી. આ બંને કારણોસર જ આંબામાં મોર આવવામાં વિલંબ થઈ રહ્યો છે. આંબાની કુદરતી પ્રક્રિયા ખોરવાતાં ઉત્પાદનના સમયમાં પણ બદલાવ વાતાવરણનો આ પલટો છેલ્લા પાંચ વર્ષથી અનુભવાઈ રહ્યો છે. દર વર્ષે વરસાદી સિઝન ઓગસ્ટમાં પૂરી થવાના બદલે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ઘણી વખત નવેમ્બરમાં પણ વરસાદી વાતાવરણ સર્જાય છે. જેના કારણે આંબાને જે આરામ (ફ્લાવરિંગ માટેનો અનિવાર્ય ડોર્મન્સી પિરિયડ) જોઈતો હોય તે પૂરતો મળતો નથી. આ ઉપરાંત, દિવસ અને રાતના તાપમાનમાં પણ મોટા ફેરફારો થતાં રહે છે (દિવસના સમયે તાપમાન ઊંચું જવું અને રાતના સમયે વધુ નીચું જવું), જેના કારણે પણ આંબા પર યોગ્ય સમયે ફ્લાવરિંગ આવતું નથી. આંબાની કુદરતી પ્રક્રિયા ખોરવાતાં ઉત્પાદનનો સમય પણ વિલંબમાં મૂકાયો છે. આંબાના બગીચાધારકોને ખાસ સલાહ કૃષિ વૈજ્ઞાનિકોએ આ અણધાર્યા વાતાવરણના ફેરફારને લઈને આંબાના બગીચાધારકોને ખાસ સલાહ આપી છે. ડો. બી.કે. વરૂએ ભલામણ કરી કે, આંબાના બગીચાધારકો 3થી 4 ટકા જેટલું પોટેશિયમ નાઇટ્રેટ છાંટી શકે છે, જેથી આંબાને ફ્લાવરિંગ આવવાની પ્રેરણા મળી રહે હાલ પાણી આંબાને આપવું જરૂરી નથી કારણ કે, થોડા સમય પહેલા જ વરસાદ વરસી ગયો છે, જેના કારણે આંબાને પૂરતો અને અનુકૂળ ભેજ મળ્યો છે. હાલના સમયે વાતાવરણ જોતા ખેડૂતોએ આંબામાં ખાતર પણ આપવાની જરૂર નથી, પરંતુ ખાસ કરીને પોટેશિયમ નાઇટ્રેટનો છંટકાવ કરવો જરૂરી છે. આ રસાયણિક દ્રવ્ય આંબાના વૃક્ષને તાણ આપીને વહેલું મોર લાવવામાં મદદ કરે છે. મેંગો હોપર નામની જીવાતથી કેરીઓને બચાવવી પડકારજનકવળી, આંબામાં રોગ અને જીવાતની જો વાત કરવામાં આવે તો આવનારા સમયમાં તાપમાન વધતા આંબામાં મધ્યાનો (મેંગો હોપર) નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળશે. આ જીવાત આંબાના મોરને અને નાની કેરીઓને મોટું નુકસાન પહોંચાડે છે. ડો. વરૂએ જણાવ્યું કે, મધ્યાનોની જીવાત આંબાની તિરાડોમાં પહેલેથી જ હોય છે. જે ખેડૂતોએ આંબામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મધ્યાના રોગ માટે દવાનો છંટકાવ કર્યો હોય તે ખેડૂતોને કોઈ વાંધો નહીં, પરંતુ જે ખેડૂતોએ આ દવાનો છંટકાવ ન કર્યો હોય એવા ખેડૂતોએ મધ્યાના રોગ માટે છંટકાવ કરવો ખૂબ જરૂરી છે. ગયા વર્ષે મધ્યાના રોગે મોટો ઉપદ્રવ સર્જ્યો હતો, જેમાં ખેડૂતોએ સમયસર દવાનો છંટકાવ ન કરવાને કારણે ખૂબ જ મુશ્કેલી અને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. તેથી, આગામી પાકને બચાવવા માટે ખેડૂતોએ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. કેરીનો પાક મોડો થવાથી અર્થતંત્ર અને નભતા ઉદ્યોગો પર પણ અસર થશેગીરની કેસર કેરી તેના અનોખા કેસરી રંગ, મીઠાશ અને દૈવી સુગંધ માટે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં જાણીતી છે. આ કેરીને ભૌગોલિક સંકેત (GI Tag) પણ મળેલો છે, જે તેની ગુણવત્તા અને ઉત્પત્તિના સ્થાનની વિશિષ્ટતા સાબિત કરે છે. કેસર કેરીનો પલ્પ સહેલાઈથી કાઢી શકાય છે અને તે જ્યુસ અને અન્ય ઉત્પાદનો માટે શ્રેષ્ઠ ગણાય છે. આ કેરીનો પાક મોડો થવાથી સ્થાનિક અર્થતંત્ર અને કેરી પર નભતા ઉદ્યોગ પર પણ અસર થશે. જો વાતાવરણમાં ઝડપથી અનુકૂળ ફેરફાર થશે, તો જ ખેડૂતોને રાહત મળી શકશે અને સ્વાદ રસિકોને ગીરની મીઠી કેસર કેરીનો સ્વાદ ચાખવા મળશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:40 pm

સુરેન્દ્રનગર LCBએ 6.20 લાખના ચીટિંગનો આરોપી પકડ્યો:લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ત્રણ માસથી ફરાર હતો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રૂ. 6.20 લાખના ચીટિંગ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને સુરેન્દ્રનગર હેલીપેડ પાસેથી પકડવામાં આવ્યો હતો. લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 11211031250402/2025 (BNS કલમ 316(2), 318(4), 54) હેઠળ ડોલર દ્વારા રૂ. 6,20,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપીનું નામ શક્તિ ઉર્ફે ગરબડ માધુભાઈ રાણેવાડીયા છે, જે સુરેન્દ્રનગરની ફિરદોસ સોસાયટી, દશામાના મંદિર પાસે રહે છે. તેની પાસેથી ચીટિંગના ભાગરૂપે મળેલા રૂ. 9,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી શક્તિ ઉર્ફે ગરબડ માધુભાઈ રાણેવાડીયાનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેની સામે અગાઉ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 473, 114 હેઠળ અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 હેઠળ ગુના નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:37 pm

SIR ઝુંબેશ 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ:ધાનેરા અને લીમખેડામાં 100% ડિજીટાઈઝેશન પૂર્ણ, 93.14% સાથે ડાંગ જિલ્લો રાજ્યમાં પ્રથમ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત ગણતરીની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે. ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી અને તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ દ્વારા સંકલિત રીતે કામગીરી ચાલી રહી છે. 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણરાજ્યભરમાં 2025ની મતદાર યાદીમાં સમાવિષ્ટ 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ પૂર્ણ થયાના સંકેતો છે, જ્યારે અમુક જિલ્લાઓમાં અંતિમ તબક્કે વિતરણ પૂર્ણ થવાનું બાકી છે. પરત મળેલા ફોર્મના ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. 100% ડિજીટાઈઝેશન પૂર્ણ કરનાર બે વિધાનસભા બેઠક ડિજીટાઈઝેશનમાં ડાંગ જિલ્લાની આગેકૂચડિજીટાઈઝેશનમાં 93.14% સાથે ડાંગ જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાન પર છે. અન્ય જિલ્લાઓમાં કામગીરી સતત પ્રગતિ પર છે. ગણતરી દરમ્યાન નોંધાયેલાં મુદ્દાઓ મતદારોની ગણતરી અભિયાનને સફળ બનાવવા માટે કાર્યરત તમામ BLOઓની પ્રશંસા કરવામાં આવી રહી છે અને જો કોઈ મુશ્કેલી હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. અભિયાનનો સૂત્ર“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:34 pm

બનાસકાંઠામાં મતદાર યાદી ડિજીટાઈઝેશન 94.13% પૂર્ણ:9 વિધાનસભા વિસ્તારોમાં ગણતરી ફોર્મની પ્રક્રિયા પૂર્ણતાના આરે

બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની પ્રક્રિયા 94.13 ટકા પૂર્ણ થઈ છે. જિલ્લાના કુલ 9 વિધાનસભા વિસ્તારોમાં આ કામગીરી વેગવંતી બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. 1 ડિસેમ્બર, 2025ના બપોરે 2 વાગ્યા સુધીની સ્થિતિએ, બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોમાં નોંધાયેલા 26,24,952 મતદારો પૈકી 24,70,989 મતદારોના ફોર્મનું ડિજીટાઈઝેશન પૂર્ણ કરાયું છે. આ ઝુંબેશ અંતર્ગત ધાનેરા વિધાનસભા વિસ્તારમાં 100 ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ધાનેરાના કુલ 2,84,647 મતદારોના ફોર્મનું ડિજીટાઈઝેશન થયું છે. ધાનેરા પ્રાંત અધિકારી કે.આર. ઉનડકટે જણાવ્યું હતું કે, CEO કચેરી અને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ BLO, સેક્ટર ઓફિસર, ARO/EROના સહયોગથી આ કામગીરી પાર પાડવામાં આવી છે. હવે ASD (Absent, Shifted, Dead) યાદી ચકાસણી માટે ગ્રામ પંચાયતો ખાતે મોકલી આપવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પાત્ર મતદાર રહી ન જાય અને કોઈ અપાત્ર મતદાર યાદીમાં સામેલ ન થાય.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:30 pm

સુરતમાં B.Techના વિદ્યાર્થીનો હોસ્ટેલમાંથી કૂદી આપઘાત:સારવાર માટે લઈ જવા સમયે સતત 'લેટ મી ડાય' કહી રહ્યો હતો, 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ ન આવતા વિદ્યાર્થીઓ જાતે બોલાવી લાવ્યા

એસવીએનઆઈટી (SVNIT) સુરતનો કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી અને કેરળના મૂળ કરુણાગોપલ્લીનો રહેવાસી અદ્વૈત નાયરે (B.Tech ત્રીજા વર્ષ) 30 નવેમ્બરની રાતે હોસ્ટેલમાંથી કૂદીને આપઘાત કર્યો હતો. અગાઉ પરીક્ષામાં નાપાસ થવાના કારણે તે તણાવમાં હતો અને નવા અભ્યાસના ક્લાસમાં પણ હાજર રહેતો ન હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેને જ્યારે સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે તે સતત 'લેટ મી ડાય' કહી રહ્યો હતો. આપઘાતની ઘટના બાદ કેમ્પસમાં ભારે વિરોધ સર્જાયો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડીંગની બહાર એકઠા થઈને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એમ્બ્યુલન્સ સમયસર ન આવતા વિદ્યાર્થીઓમાં રોષઆ ઘટનાના સાક્ષી રહેલા વિદ્યાર્થીઓએ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આપઘાતની ઘટના બાદ તુરંત જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ એમ્બ્યુલન્સ સમયસર ઘટનાસ્થળે પહોંચી નહોતી. લગભગ 30 મિનિટ સુધી કેમ્પસમાં એમ્બ્યુલન્સ આવી નહોતી. વધુમાં, વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે SVNIT કેન્ટીન નજીક જ એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે પણ તાત્કાલિક મદદ માટે પહોંચી શકી નહોતી. 'અમે પોતે જ બહારથી એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી'વિદ્યાર્થી હરે ક્રિષ્ણા તિવારીએ જણાવ્યું હતું કે, અમે 'અદ્વિત'ને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા, કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈને દોડી રહ્યા હતા અને અમે પોતે જ બહારથી એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. આ ગંભીર સમય દરમિયાન SVNIT તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નહોતી. વહીવટી બિલ્ડીંગ બહાર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શનવિદ્યાર્થીના મૃત્યુ અને વહીવટી તંત્રની બેદરકારીને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડીંગની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ન્યાય તથા જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી. આ સમગ્ર ઘટનાએ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓ વહીવટી તંત્ર પાસેથી આ બેદરકારી અંગે સ્પષ્ટતા અને જવાબદારીપૂર્વક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:30 pm

હિંમતનગરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલી:સાબરકાંઠા જિલ્લામાં 2476 HIV દર્દીઓ ART સારવાર હેઠળ

હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયા અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ફાલ્ગુનીબેનના માર્ગદર્શન હેઠળ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જિલ્લા નર્સિંગ સ્કૂલનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલમાં આવેલા ક્ષય કેન્દ્રથી એક જાગૃતિ રેલીનું પ્રસ્થાન થયું હતું. એઈડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ થીમ પર આધારિત આ રેલી પ્લેકાર્ડ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ, નગરપાલિકા અને ટાવર ચોક થઈને પાંચબત્તી પાસેથી પસાર થઈ પરત જૂની સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. આ રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ, NACP સ્ટાફ, નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. તાલીમાર્થીઓ દ્વારા HIV/એઇડ્સ અંગે જાગૃતિલક્ષી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જાગૃતિ રેલી પૂર્ણ થયા બાદ હિંમતનગર નર્સિંગ સ્કૂલમાં રંગોળી અને પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ડૉ. ફાલ્ગુની, રાજેશ જાદવ અને જિલ્લા IEC અધિકારી જયેશભાઈ દ્વારા પ્રસંગોચિત માહિતી આપવામાં આવી હતી. રંગોળી અને પોસ્ટર પ્રદર્શનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે DTC સ્ટાફ, દિશા સ્ટાફ અને ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સાબરકાંઠા જિલ્લામાં હાલમાં 2476 HIV ગ્રસ્ત દર્દીઓ ART (એન્ટિરેટ્રોવાયરલ થેરાપી)ની સારવાર હેઠળ છે. એપ્રિલ 2024 થી ઓક્ટોબર 2024 દરમિયાન 162 નવા HIV ગ્રસ્ત દર્દીઓ નોંધાયા હતા, જ્યારે એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન 107 કેસ નોંધાયા છે. વર્ષ 2024 અને 2025ના આંકડા પ્રમાણે નવા કેસોમાં 55નો ઘટાડો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:27 pm

'તારે રીવાબાને બોલાવવા છે તો બોલાવી લઈ આપણે':રાજકોટની વી.એમ. મહેતા આયુર્વેદિક કોલેજમાં ફી મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે ધમકાવ્યા

રાજકોટની ગાર્ડી વિદ્યાપીઠ આયુર્વેદિક કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રપોઝ્ડ ફીના નામે 60-60 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવતા વિરોધનો સુર ઉઠ્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ધમકાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. વાઈરલ વીડિયોમાં પ્રિન્સિપાલ વિદ્યાર્થીને ચામડી ઉતારી નાખવાની અને રીવાબાને બોલાવવા હોય તો બોલાવી લેવાની ધમકી આપતા જોવા મળી રહ્યા છે. સમગ્ર વિવાદ બાદ કોલેજ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી જે પ્રપોઝ્ડ ફી વસૂલવામાં આવી છે તે પરત કરી દેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કોલેજના સંચાલક ડીવી મહેતાએ પ્રિન્સિપાલના નિવેદન અંગે કહ્યું હતું કે, પ્રિન્સપાલ આવું બોલ્યા હોય તો તે યોગ્ય નથી. નિયમોનું ઉલ્લંઘન કરી ફી વસૂલાતી હોવાનો આક્ષેપકોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ગાર્ડી વિદ્યાપીઠની અંદર આવેલી વી. એમ. મેહતા આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફરિયાદ આવી હતી કે અમે બીજા વર્ષના વિદ્યાર્થીઓ છીએ અને આયુર્વેદિક કાઉન્સિલ દ્વારા જ્યારે અમને આ કોલેજમાં પ્રવેશ મળ્યો ત્યારે પરીક્ષા ફી રૂ.3000 લેવામાં આવી હતી. જોકે આ કોલેજના સંચાલક ડી.વી. મહેતા છે. જે શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન છે. જેઓ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને વધારાની રૂ.60000 ફી લે છે. જે બાદ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના અધિકારીઓની ટીમ ઇન્સ્પેક્શન માટે આવી હતી તે પહેલા કોલેજ સંચાલક મહેતા અને તેના માણસો દ્વારા વિદ્યાર્થીઓને એવું દબાણ કરવામાં આવ્યું હતું કે, જ્યારે આ ટીમ આવે ત્યારે તેમની સમક્ષ એવું કહેવાનું કે અમારી પાસેથી કોઈપણ પ્રકારની વધારાની ફી લેવામાં આવતી નથી. આ ઉપરાંત રૂ. 30,000 ફી રિફંડ કરી દીધી છે તેવું બળજબરીથી લખાવી લીધુ. આ પ્રકારના એકથી ચાર વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે ફી ઉઘરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલ ધમકીભરી ભાષામાં વાત કરતા હોવાનો વીડિયો વાઈરલજેને લઈને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આયુર્વેદ કોલેજના કેમ્પસ ખાતે એકત્ર થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં દેખાઈ રહ્યું છે કે કોલેજના પ્રિન્સિપાલ રવિકાંત ગોયલ દ્વારા વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવે છે કે તમારી ચામડી ઉતારી નાખવામાં આવશે અને આ બાબતે તમારે કોને ફરિયાદ કરવી છે રીવાબા જાડેજા ને કરવી હોય તો પણ ભલે અને પૂનમબેન માડમને ફરિયાદ કરવી હોય તો પણ કરી દો. જો પ્રિન્સિપાલ આવું બોલ્યા હોય તો તે યોગ્ય નથી- ડી.વી. મહેતાઆ બાબતે કોલેજના સંચાલક ડી.વી. મેહતાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે, અહીં દર વર્ષે આયુર્વેદના 4 વર્ષના 240 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમે છેલ્લા 7 વર્ષથી કોલેજની ફી મા એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી. જેથી અમે આયુર્વેદ કાઉન્સિલ સમક્ષ પ્રપોઝ્ડ ફી મૂકી હતી જે રૂપિયા 60000 વધારે હતી. સાત વર્ષ પછી ફી વધારો કરવામાં આવ્યો જેથી વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે ખોટી રીતે ફી ઉઘરાવવામાં આવે છે પરંતુ એ હકીકત નથી અમે પ્રપોઝ્ડ ફી જ ઉઘરાવી છે અને એ ફી પણ હાલ વિદ્યાર્થીઓને રિફંડ આપી દઈએ છીએ. જ્યારે આ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવ્યા અને પૂનમબેન ને કે રીવાબ અને ફરિયાદ કરવી હોય તો કરી દો તેવું જાહેરમાં કહેવામાં આવ્યું તે બાબતે પૂછવામાં આવતા કોલેજ સંચાલકે જણાવ્યું હતું કે, પ્રિન્સિપાલને હું કહી દઉં છું આવું જો બોલ્યા હોય તો તે યોગ્ય નથી.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:26 pm

પૂર્વ સૈનિકો, શહીદ પૂર્વ સૈનિકોની પત્નીઓનું જિલ્લા સ્તરીય સંમેલન યોજાયું:મહેસાણા સૈનિક કલ્યાણ કચેરી દ્વારા પાટણમાં આયોજન

મહેસાણા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દ્વારા પૂર્વ સૈનિકો, દિવંગત પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતો માટે વર્ષ 2024-2025નું જિલ્લા સ્તરીય સંમેલન પાટણ ખાતે યોજાયું. આ સંમેલન ન્યૂ કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, પાટણ ખાતે આયોજિત કરાયું હતું. જેમાં મહેસાણા, બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, સેવારત સૈનિકોના પરિજનો તેમજ સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણા તેના કાર્યક્ષેત્ર હેઠળના મહેસાણા, બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, સેવારત સૈનિકોના પરિજનો તેમજ સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે વિવિધ સેવાઓ અને સહાય યોજનાઓ અમલમાં મૂકે છે. આ કચેરી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતી સહાય, પેન્શન, રોજગાર, સ્વરોજગાર તથા કલ્યાણ યોજનાના લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં આવે છે. દર વર્ષે ધ્વજદિનના ભંડોળ માટે પણ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ જિલ્લા સ્તરીય વાર્ષિક સંમેલનનો મુખ્ય હેતુ સૈનિકો અને સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓને સરકાર તરફથી ઉપલબ્ધ તમામ આર્થિક સહાયો અને સવલતો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવાનો હતો. સંમેલનમાં ઉપસ્થિત ધર્મપત્નીઓ અને આશ્રિતોને નીચે મુજબની સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું: પેન્શન મુદ્દાઓ અને ફાઇનલ સેટલમેન્ટ સંબંધિત સહાય, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ યોજનાઓના લાભ, રોજગાર અને સ્વરોજગાર સંબંધિત માહિતી, સૈનિક બોર્ડની બેઠકમાં લેવાતા નિર્ણયો અને તેનો લાભ. આ સંમેલન દ્વારા પૂર્વ સૈનિક પરિવારજનોને જરૂરી માહિતી, સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીનું નોંધપાત્ર યોગદાન રહ્યું.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:25 pm

સુરેન્દ્રનગરમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી:ગીતા પૂજન, સમૂહ પઠન અને સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન

ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંકલ્પ હેઠળ રાજ્યભરમાં ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગીતાજયંતીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું આયોજન કરાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સી.યુ. શાહ હાઇસ્કૂલ, ઉપાસના સર્કલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમર સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો હતો. સાથે જ, યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન-પરંપરા સાથે જોડવાનો તથા સમાજમાં ધર્મ, કર્મ અને આધ્યાત્મિકતાનો સંચાર કરવાનો પણ હેતુ હતો. કાર્યક્રમનો પ્રારંભ પારંપરિક રીતે દીપ પ્રાગટ્ય અને મંગલમય શંખ ધ્વનિથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભગવદ ગીતાનું પૂજન કરાયું હતું. ઉપસ્થિત સર્વેએ ભગવદ્દ ગીતાના 12મા અધ્યાયનું સમૂહ પઠન કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ઇસ્કોન સંસ્થાના વડા મુરલી મનોહરે ભગવદ ગીતા અને જ્ઞાન મોક્ષદા એકાદશી વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગીતામાં ભગવાન અર્જુનને તેમની ફરજો અને જવાબદારીઓ કેવી રીતે નિભાવવી તે સમજાવે છે. તેમણે યુવાનોને બાળપણમાં જ ગીતાને સમજવાનો પ્રયાસ કરવા અને હિંદુ સંસ્કૃતિના મજબૂત પાયાને દ્રઢ કરવા અનુરોધ કર્યો હતો. સંસ્કૃત ભારતીના સંસ્કૃત પ્રસારક પ્રકાશ રાવલે સંસ્કૃતના પ્રચાર-પ્રસારના કાર્યો વિશે જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સંસ્કૃત માત્ર પંડિતો કે બ્રાહ્મણોની ભાષા છે તેવી માન્યતા ભૂલ ભરેલી છે. તેમણે ઉમેર્યું હતું કે એક સંશોધન મુજબ સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારોથી મગજની બુદ્ધિ પ્રતિભામાં વધારો થાય છે. જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદકુમાર ઓઝાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે ભગવદ ગીતા વિશે બાળકોને સચોટ દ્રષ્ટાંત આપી સમજ આપી હતી અને ગીતાજયંતીની ઉજવણીની મહત્તા વિશે વિગતવાર માહિતી આપી જણાવ્યું હતું કે ગીતાજીનો સંદેશ માત્ર ધાર્મિક નહીં, પરંતુ જીવનના દરેક પાસામાં માર્ગદર્શક બની રહે છે. ગીતાંશ કંઠપાઠ તેમજ શત સુભાષિત કંઠપાઠ બદલ સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું વિદ્યાર્થીઓએ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ડાયટ પ્રાચાર્ય મનીષ ટૂંડિયા, ઈસ્કોન સંસ્થાના વડા, સંસ્કૃત ભારતીના પ્રચારકો, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ, શાળાના સંચાલકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:16 pm

13 લાખ લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ 'ઇનએક્ટિવ':મા-વાત્સલ્ય, સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના પરિવારોને કાર્ડ રિન્યૂ કરાવવા સરકારની અપીલ

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાણ કરાયું છે કે ‘મા વત્સલ્ય’, ‘મા’, મધ્યમ વર્ગના પરિવારો, સિનિયર સિટિઝન, તેમજ સામાજિક રીતે વંચિત વર્ગો માટે આવકના ધોરણે બનેલા આયુષ્માન કાર્ડનો સમયગાળો પૂર્ણ થતાં મોટી સંખ્યામાં કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે 13 લાખ જેટલા લાભાર્થીઓના કાર્ડ ઇનએક્ટિવ છે. સરકાર તરફથી વારંવાર જાહેરાતો, માર્ગદર્શન, મોબાઇલ પર SMS સૂચનાઓ મોકલાતા હોવા છતાં અનેક લાભાર્થીઓ દ્વારા રીન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. પરિણામે જરૂરી સમયે હોસ્પિટલમાં સારવાર લેતા લોકો કાર્ડ એક્ટિવ કરવા દોડધામ કરતા જોવા મળ્યા. રાજ્ય સરકારે સ્પષ્ટ અપીલ કરી છે કે, યોજનાનો લાભ કોઈ વંચિત ન રહી જાય તે માટે લાભાર્થીઓ વહેલી તકે પોતાનું કાર્ડ રીન્યુ કરાવી લે. સરકાર દ્વારા જાહેર કરેલી અગત્યની વિગતો,

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:07 pm

ગાંધીનગરની સાબરમતી નદીમાં રેત ખનનના રેકેટ નેટવર્કનો પર્દાફાશ:નવ ડમ્પરો બે હિટાચી મશીનો અને બે હોડી સહિત કરોડોનો મુદ્દામાલ સીઝ

થોડા વખત અગાઉ કલોલ તાલુકાની હદમાં મહિલા ભૂસ્તર અધિકારીને બાનમાં લેવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રએ સાબરમતી નદીના પટમાં ગેરકાયદેસર રેત ખનન કરતા ભૂમાફિયાઓ પર સકંજો કસ્યો છે. પૂર્વ બાતમીના આધારે ભૂસ્તર તંત્રની ટીમે માધવગઢ પાસેના અમરાપુર ગામ નજીક સાબરમતી નદીના પટમાં દરોડો પાડતાં નદીના પાણીમાં રસ્તાઓ બનાવીને આયોજનપૂર્વક ચાલી રહેલા રેતી ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં ભૂસ્તર તંત્રએ નવ જેટલા ડમ્ફર, બે હિટાચી મશીનો અને અન્ય સાધનો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ભૂમાફિયાઓએ રેતી ભરેલું ડમ્ફર છોડાવી લેવાની હિંમત કરી હતીથોડા સમય અગાઉ કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી સહિતની ટીમને ભૂમાફિયાઓએ બાનમાં લીધા હતા અને રેતી ભરેલું ડમ્ફર છોડાવી લેવાની હિંમત કરી હતી. આ ઘટના બાદ મહિલા અધિકારીની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જોકે કાયદાનો લાભ લઈને આ ગેંગ જામીન પર મુક્ત થઈ ગઈ હતી. ખનીજનું વહન અને ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહીપરંતુ આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહે કડક કાર્યવાહીનો નિર્ધાર કર્યો હતો. અને ગુનામાં વપરાયેલા ભૂમાફિયાઓના વાહનોને બ્લેક લિસ્ટ કરવા માટે પ્રણવસિંહે આરટીઓમાં લેખિત રજૂઆત કરી હતી. ઉપરાંત ગેરકાયદેસર રીતે ખનીજનું વહન અને ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. રેતી ઉલેચવા નદીના પટમાં કાચા રસ્તાઓ બનાવ્યાઆ કડક કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે ભૂસ્તર તંત્રની ટીમે પૂર્વ બાતમીના આધારે અમરાપુર ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં નદીમાં પાણીનું પ્રમાણ હોવા છતાં ભૂમાફિયાઓએ રેતી ઉલેચવા માટે નદીના પટમાં કાચા રસ્તાઓ બનાવી દીધા હતા. પોલીસનો પણ ડર રાખ્યા વીના બે હિટાચી મશીનો દ્વારા બેરોકટોક રેતી ઉલેચવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. નવ ડમ્ફર, બે હિટાચી મશીનોને સીઝ કરવામાં આવ્યાજોકે ભૂસ્તર તંત્રની ટીમ ત્રાટકતા જ ભૂમાફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે અગાઉથી સંપૂર્ણ તૈયારી સાથે પહોંચેલી ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ દરોડામાં સ્થળ પરથી નવ ડમ્ફર અને રેતી ઉલેચવામાં વપરાતા બે હિટાચી મશીનોને સીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભૂમાફિયાઓ નદીમાં અવરજવર માટે ઉપયોગ કરતા હતા તેવી બે નાની હોડીઓ પણ મળી આવી હતી. નદીના પટમાં ડેરા તંબુ તાણી દીધાઅહીં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓએ સાબરમતી નદીના પટમાં ડેરા તંબુ તાણી દીધા હતા અને પોલીસનો પણ ડર રાખ્યા વિના રાત-દિવસ રેત ખનન કરી રહ્યા હતાં. ભૂસ્તર તંત્રની આ સફળ રેડથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 'નદી પટ વિસ્તારમાં કેટલું ગેરકાયદેસર માઇનિંગ થયું તેની ગણતરી થશે'આ અંગે ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહે જણાવ્યું કે, અમને પૂર્વ બાતમીના આધારે ગેરકાયદેસર માઇનિંગનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે, જેમાં નવ ડમ્ફર અને બે મશીન સીઝ કરાયા છે. નદી પટ વિસ્તારમાં કેટલું ગેરકાયદેસર માઇનિંગ થયું છે તેની સંપૂર્ણ ગણતરી કરવામાં આવશે અને તે ગણતરી મુજબ કસૂરવારો પાસેથી દંડની ચોક્કસ રકમ વસૂલવામાં આવશે. હજી પણ ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને હવે કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:05 pm

વલસાડમાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો:કરીમનગર સોસાયટીના રહેવાસીઓની હિંસક શ્વાનો સામે કાર્યવાહીની માગ, ગઈકાલે બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો

વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવાડાની કરીમનગર સોસાયટીમાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. તાજેતરમાં એક 7 વર્ષીય બાળકી પર શ્વાનોએ હુમલો કરતાં તે ઘાયલ થઈ હતી. આ ઘટના બાદ સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હિંસક શ્વાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કરીમનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રખડતા શ્વાનોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં રહેતા લોકો પર શ્વાનો દ્વારા વારંવાર અચાનક હુમલાઓ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ અંગે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા ન હોવાથી પરેશાની વધી હતી. ગઈકાલે 7 વર્ષીય બાળકી પર શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાના પગલે આજે કરીમનગર સોસાયટીના તમામ રહેવાસીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, શ્વાનોના વધતા હુમલાને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. તેથી, તાત્કાલિક ધોરણે અસરકારક કાર્યવાહી કરીને વિસ્તારને સુરક્ષિત કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 5:05 pm

રેસિડેન્શિયલમાં કોમર્શિયલ પ્રવૃતિને લઈ સ્થાનિકોમાં આક્રોશ:સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીમાં ફ્લેટમાં ચાલતી હોટલને લઈ કમિશ્નર કચેરીમાં રજૂઆત, અનેક રજૂઆત છતાં નિરાકરણ નહીં

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9ના સેવાસી વિસ્તારમાં આવેલી સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીના રહીશોએ મહાનગરપાલિકા ખાતે રેસિડેન્ટ એરિયામાં કોમર્શિયલ પ્રવૃતિને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નિયમોને નેવે મૂકી રહેણાંક વિસ્તારમાં ધમધમતી હોટલને લઈ મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપી આ હોટલ સીલ કરવા ઉગ્ર માંગણી કરી હતી. ફ્લેટમાં ચાલતી હોટલને લઈ કમિશ્નર કચેરીમાં સ્થાનિકોની રજૂઆતઆ સોસાયટીના 142 ફ્લેટ પૈકી એક વ્યક્તિએ પોતાના ફ્લેટો વેચાણ કર્યા વગર જ નિયમોને અવગણીને તેને હોટલમાં ફેરવી નાખ્યાના ગંભીર આક્ષેપો રહીશોએ મૂક્યા છે. રહીશોનું કહેવું છે કે, આ રેસિડેન્શિયલ સોસાયટીમાં હોટલ જેવી કોમર્શિયલ પ્રવૃત્તિ ધમધમી રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થઈ થયા છે. 'પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છતાં, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી'સ્થાનિક લોકોના આક્ષેપો છે કે, અહીંયા રાત્રે અજાણ્યા છોકરા- છોકરીઓ ભેગા થઈને દારૂ પીવો, હોબાળો કરવો અને અશ્લીલ વર્તન કરવાની ફરિયાદો વધી રહી છે. રહીશોએ જણાવ્યું કે, અમે અનેક વખત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. મહિલાઓ રાત્રે એકલા નીકળવામાં પણ ડર લાગે છે. સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યુંઆજે મોટી સંખ્યામાં મહિલાઓ અને રહીશો મનપા કચેરીએ પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને તાત્કાલિક કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી. રહીશોએ ચીમકી આપી છે કે, જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ ન આવે તો વધુ આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:53 pm

પૂર્વ પોલીસ કર્મીનો પુત્ર બન્યો વ્યાજખોર:10 ટકા વ્યાજે નાણાં આપી 3.50 લાખનો ચેક બાઉન્સ કરાવ્યો, દીપક પવાર સહિત બે જેલના સળિયા પાછળ

સુરતમાં વ્યાજખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, નવાઈની વાત એ છે કે હવે કાયદાનું રક્ષણ કરનારા પોલીસ પરિવારમાંથી જ વ્યાજખોરીના કિસ્સા સામે આવી રહ્યા છે. સુરતની ઉધના પોલીસે એક મોટી કાર્યવાહી કરતા પૂર્વ પોલીસ કર્મચારીના પુત્ર સહિત બે વ્યાજખોરોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ જરૂરિયાતમંદ લોકો પાસેથી મહિનાનું 10 ટકા જેટલું તોતિંગ વ્યાજ વસૂલતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતાં. પૂર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પુત્ર વ્યાજખોરઉધના પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં મુખ્ય આરોપી દીપક સુરેશભાઈ પવાર છે. 40 વર્ષીય દીપક પવાર એક પૂર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પુત્ર છે. સામાન્ય રીતે પોલીસ પરિવારમાંથી આવતા વ્યક્તિ કાયદાનું પાલન કરે તેવી અપેક્ષા હોય છે, પરંતુ અહીં રક્ષકનો પુત્ર જ ભક્ષક બન્યો હોય તેમ ગરીબ નાગરિકોને વ્યાજની જાળમાં ફસાવી રહ્યો હતો. પવાર અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યોઉલ્લેખનીય છે કે, દીપક પવાર અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યો છે. ભૂતકાળમાં તેની ઓફિસ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં તે ફરિયાદી બન્યો હતો. હવે તે પોતે વ્યાજખોરીના ગુનામાં આરોપી તરીકે પકડાયો છે. 90 હજાર ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણીપોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદીએ આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. ફરિયાદીએ મુદલ રકમ પેટે 90,000 રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં, આરોપીઓ દીપક પવાર અને લક્ષ્મણ ઠાકુરની ભૂખ સંતોષાઈ ન હતી. તેઓએ ફરિયાદી પાસે વધુ 40,000 રૂપિયાની માંગણી કરી હતી. આટલેથી ન અટકતા આરોપીઓએ ફરિયાદીને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક વધુ 45,000 રૂપિયા કઢાવી લીધા હતાં. તેઓ સતત ફોન પર બિભત્સ ગાળો આપતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતાં. કોરા ચેક લખાવી લીધા અને3.50 લાખનો ચેક બાઉન્સ કરાવ્યોવ્યાજખોરોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જ્યારે તેઓ કોઈને પૈસા આપે ત્યારે જ તેમની પાસેથી સહી કરેલા કોરા ચેક અને પ્રોમિસરી નોટ લખાવી લેતા હતા. આ કેસમાં પણ આરોપીઓએ ફરિયાદી પાસેથી કોરા ચેક લઈ લીધા હતાં. બાદમાં ફરિયાદીને દબાણમાં લાવવા માટે આરોપીઓએ તે ચેકમાં 3,50,000 રૂપિયાની રકમ ભરીને બેંકમાં નાખ્યો હતો અને ચેક બાઉન્સ કરાવીને ખોટો કેસ કરવાની તજવીજ હાથ ધરી હતી. આરોપી લક્ષ્મણ ઠાકુર રીઢો ગુનેગાર​​​​​​​આ કેસમાં પકડાયેલ બીજો આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકુર (ઉંમર 39) અગાઉ પણ આવા જ ગુનામાં સંડોવાયેલો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લક્ષ્મણ ઠાકુરને બીજી વખત વ્યાજખોરીના ગુનામાં પકડવામાં આવ્યો છે. તે લાયસન્સ વગર લોકોને 10 ટકા વ્યાજે પૈસા આપી ગેરકાયદેસર ઉઘરાણી કરતો હતો. ઉધના અને ડિંડોલી વિસ્તારમાંથી બંને ઝડ્પાયા​​​​​​​ફરિયાદીએ હિંમત દાખવીને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એક્શન લીધા હતાં. પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉધના અને ડિંડોલી વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:46 pm

શરબતિયા તળાવને કાંકરિયા થીમ પર વિકસાવાશે:6-7 કરોડના ખર્ચે બનશે મલ્ટી-પર્પસ સ્પૉટ, તળાવ ફરતે વોકવે, વ્યવસ્થિત ફૂડ કોર્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં

નવસારી શહેરના વિકાસને નવો આયામ આપતા, મહાનગરપાલિકાએ ઐતિહાસિક શરબતિયા તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની થીમ પર વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ મલ્ટી-પર્પસ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 6 થી 7 કરોડ રૂપિયા થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને પરિવાર સાથે સ્વચ્છ અને રમણીય વાતાવરણમાં ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માટે એક સ્થળ પૂરું પાડવાનો છે. આ વિકાસ કાર્ય અંતર્ગત, તળાવની ફરતે વોકવે, આકર્ષક સિટિંગ એરિયા અને વ્યવસ્થિત ફૂડ કોર્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સુવિધાઓ શહેરીજનોને ફાસ્ટ ફૂડનો આસ્વાદ માણવા અને મનોરંજન માટે આધુનિક વાતાવરણ પૂરું પાડશે. શહેરની એકમાત્ર ચોપાટી ગણાતી લુન્સીકુઈ ચોપાટી ડેવલોપમેન્ટની કામગીરીને કારણે હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. અગાઉ શરબતિયા તળાવ આસપાસની ચોપાટી પર પાર્કિંગ અને સિટિંગ સુવિધાનો અભાવ હતો. પાણીપુરીની લારીઓ 'ઓડ-ઇવન' પદ્ધતિથી ચાલતી હોવા છતાં, તે વારંવાર ટ્રાફિક જામનું કારણ બનતી હતી. નવીનીકરણની કામગીરી સાથે, પાલિકાએ આ ટ્રાફિક સમસ્યા અને અનિયમિતતાનો કાયમી ઉકેલ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જૂની અવ્યવસ્થાના સ્થાને હવે પ્રોફેશનલ ફૂડ કોર્ટ તૈયાર થશે, જ્યાં વિવિધ પ્રકારની વાનગીઓ સ્વચ્છ અને સુવ્યવસ્થિત માહોલમાં ઉપલબ્ધ થશે. આ અંગે માહિતી આપતા મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, શરબતિયા તળાવ શહેરના મધ્યમાં આવેલું હોવાથી સાંજના સમયે નાસ્તો કરવા આવતા લોકોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ ટ્રાફિકને દૂર કરવા અને શહેરીજનોને એક જ સ્થળે મનોરંજન મળે તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ નવસારી શહેરને એક નવું અને સુંદર કેન્દ્ર પૂરું પાડશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:22 pm

હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા:વડોદરામાં ગેસ લાઇનમાં ભંગાણ થતાં કોંગ્રેસે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી

વડોદરા શહેરમાં ગેસની મુખ્ય લાઇનમાં કારણે 20 કલાક જેટલો સમય ગેસ પુરવઠો બંધ રહ્યો હતો. જેને લઇને આજે વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા અને હાય રે ભાજપ હાય..હાય..ના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ગઇકાલે આખા વડોદરા શહેરમાં લાખો લોકો રાંધણ ગેસ વિના રહ્યા હતા. લોકોને હોટલ અને રેસ્ટોરાંમાં જમવા જવું પડ્યું હતું. સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરે આડેધડ ખોદકામ કર્યું હતું. જેના કારણે ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયુ હતું. જેના માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જવાબદાર છે. કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા જોઇએ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આખા વડોદરામાં રોડ ખોદી નાખવામાં આવ્યા છે, જેના માટે આ લોકો જવાબદાર છે. લોકો વેરો અને ગેસ બિલ ભરે છે. ગઇકાલે અડધુ વડોદરા ગેસ વગર રહ્યું હતું. જેના માટે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અને અધિકારીઓ સામે પગલા લો, એ અમારી માંગણી છે. આજે મ્યુનિસિપલ કમિશનરનો સમય લીધો હતો, પણ તેઓ હાજર રહ્યા નથી. તેઓએ ઉમેર્યું હતું કે, કોર્પોરેશને બિફોર નવરાત્રિ કરીને 53 લાખ રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો હતો. પ્રજાના પાણીનો વ્યય કરવામાં આવી રહ્યો છે. ગેસ લાઇન બંધ થઇ એના કારણે લોકો હેરાન થયા છે. પરંતુ કોઇ કાર્યવાહી થઈ રહી નથી.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:21 pm

ગોંડલનાં ચાર મગફળી ખરીદ કેન્દ્ર બંધ:ખેડૂતને માર મારવાની ફરિયાદ ન લેતા જિગીષા પટેલની SPને રજૂઆત; ખેડૂતો ખુશ છે, જયરાજસિંહ વિરુદ્ધનું કાવતરું: પ્રફુલ ટોળિયા

ગોંડલના બિલિયાળા મગફળી કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર મહિલા આગેવાન જીગીષા પટેલે આક્ષેપ કર્યો છે. આજે ગોંડલ તાલુકાના જામવાડી, કોલીથડ, બિલિયાળા અને તાલુકા સંઘ એમ કુલ ચાર જગ્યાએ ચાલતા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. આજે ભ્રષ્ટાચારના આક્ષેપોની વિરુદ્ધમાં બિલિયાળા મંડળીના હોદ્દેદારો, જામવાડી ખરીદ કેન્દ્ર પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ ટોળીયાની આગેવાનીમાં ગોંડલ પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે, ખેડૂતોને કોઈ પ્રશ્ન છે જ નહીં, પરંતુ જયરાજસિંહ વિરુદ્ધનું વાતાવરણ ક્રિએટ કરવા માટે જિગીષાબેન દ્વારા ફોટા આક્ષેપો થઈ રહ્યા છે, જેથી તેમની સામે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવે. જ્યારે સામે પક્ષે જિગીષા પટેલ દ્વારા રાજકોટ રૂરલ SPને રજૂઆત કરવામાં આવી હતી કે, બિલિયાળા મગફળી ખરીદ કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવામાં મદદરૂપ બનતા ખેડૂતને ગણેશ જાડેજાના માણસ સરપંચ લાલા સહિતનાએ માર મારવાના બનાવમાં ગોંડલ પોલીસ ફરિયાદ લેતી નથી. તાત્કાલિક આ ફરિયાદ લેવામાં આવે નહીંતર કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે. જિગીષા પટેલ દ્વારા ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસઃ સહકારી મંડળીગોંડલના બિલિયાળા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ગોંડલ તાલુકા સેવા સદનના પ્રાંત અધિકારીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, અમારી મંડળી બિલિયાળા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવેલી સરકારના ટેકાના ભાવની ખરીદી ચાલુ છે. તે કેન્દ્ર ખાતે અમારે ત્યાં કોઈપણ પ્રકારનો વિવાદ છે નહિ, પરંતુ છેલા 5-10 દિવસોથી એક રાજકીય પાર્ટીના કાર્યકર જિગીષાબેન પટેલ તેમના ત્રણ-ચાર કાર્યકરો સાથે ખરીદી કેન્દ્ર ઉપર જઈને ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયત્નો કરે છે અને અવળા માર્ગે ભટકાવવાના પ્રયત્નો કરી તોફાન થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ‘જિગીષાબેન પોલીસ પ્રોટેક્શન સાથે જાય’દરેક કેન્દ્રો ખાતે ખેડૂતો, મજુર, ટ્રાન્સપોર્ટરો મળીને લગભગ 800 માણસોની હાજરી હોઈ છે. કામ ઝડપથી થાય તેવું ખેડૂતો તથા મજુરો ઈચ્છતા હોય છે, ત્યારે એક આ મહિલા તેમના ત્રણ-ચાર માણસો સાથે આવીને ત્યાં કામ અટકાવે છે. તેના કારણે આવા સમયે કોઈ અઘટીત ઘટના ન બને તેના માટે અમે આપના માધ્યમથી કહીએ છીએ કે, એમને પોલીસ રક્ષણ મળી રહે. દરેક કેન્દ્ર ઉપર જે કોઈ ખેડૂતને કઈ પણ ફરિયાદ હોઈ તો ત્યાં હાજર રહેલા મેનેજરને લેખિતમાં આપે અને અમે તેનો લેખિતમાં જવાબ આપીશું. તો આ બાબતે ભવિષ્યમાં કોઈ કેન્દ્ર ખાતે કોઈ ઘટના ન બને તેની કાળજી સ્વરૂપે પોલીસ તંત્ર દ્વારા જિગીષાબેન પટેલ સામે પગલા લેવામાં આવે. ‘અઘટીત ઘટના બને તો જવાબદારી મંડળીની રહેશે નહિ’હાલ બિલિયાળા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવની ખરીદી ચાલુ હોવાથી ત્યાં જિગીષા પટેલ તેમના કાર્યકરો સાથે આવે અને ત્યાં ખેડૂતો, મજુરો તથા ટ્રાન્સપોર્ટરો સાથે કોઈ પણ અઘટીત ઘટના બને તેની જવાબદારી અમારી મંડળીની રહેશે નહિ. જેથી જિગીષાબેન પટેલ અથવા તેમના કાર્યકરોએ પોલીસ પ્રોટેક્સન સાથે આવવું. ટેકાના ભાવ મગફળીની ખરીદીથી ખેડૂતો ખુસ છેઃ પ્રફુલ ટોળીયાઆ સાથે જ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ ટોળીયાએ જણાવ્યું હતું કે, ચારેય મંડળી વતી હું અને અમારા દીપક રૂપારેલિયા, અમે બંને અહીંયા એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે, જે સરકાર ખેડૂતોના હિત માટે જે ટેકાના ભાવથી ₹1452 જેવી માતબર રકમથી ખરીદ કરે છે અને ખેડૂતો એનાથી ખૂબ ખુશ છે. કારણકે બજારમાં અત્યારે ₹850-900માં જે માલ જતો હોય એ ₹1452 જેવી રકમ આપે છે, ત્યારે ખેડૂતો ખૂબ ખુશ છે. ‘ખેડૂતોનો હસતો ચહેરો એનાથી જોવાતો નથી’તાજેતરમાં સુરતથી આયાત કરેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેન જિગીષાબેન આવે છે. હવે ખેડૂતોનો હસતો ચહેરો એનાથી જોવાતો નથી. એટલે બે-ચાર પીધેલા લોકોને લઈને ખરીદ કેન્દ્રો ઉપર જાય છે. ત્યાં નોખી નોખી ત્રુટિઓ કાઢે છે. એમ કહે છે કે ભાઈ તમે 100-200 ગ્રામ વધારે લ્યો છો, તમે રૂલ્સ મુજબ કામ કરો. તો અમે કહીએ કે વાંધો નહીં, તમે લેખિત આપી દો, અમે રૂલ્સ મુજબ કામ કરશું. રૂલ્સ ભંગ કરતા હોય તો તમે અમારી ઉપલી કચેરીને જાણ કરી દો, અમારું કેન્દ્ર એ તમને એમ લાગતું હોય તો બંધ કરાવી દો પરંતુ એને એ રજૂઆત નથી કરવી. એને માત્ર લોકોની વચ્ચે જઈ, જ્યાં તોલાઈ હાલતી હોય, જ્યાં ખેડૂતો, મજૂરો અને ટ્રાન્સપોર્ટરોને મોડું થાતું હોય ત્યાં ઘૂસી અને સમય બરબાદ કરે. જેથી કરીને ખેડૂતોમાં એક ઊહાપોહ થાય અને એ ઊહાપોહનો સામનો એને કરવો પડે છે. એ સામના અંતર્ગત બિલિયાળા ખાતે તેઓ ગયા અને લોકોની વચ્ચે, ખેડૂતો અને મજૂરોની વચ્ચે એને બબાલ થઈ. પછી એને ખોટા આક્ષેપો કર્યા, અમને માર્યા, અમને આમ કર્યું. ‘ખેડૂતોના ખાતામાં પૈસા પડી રહ્યાં છે તે તેમનાથી જોવાતું નથી’તો અમે આજ માત્ર એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે, બેન તમે દરેક કેન્દ્ર ઉપર જાવ, બધા કેન્દ્ર ઉપર જાવ. દરેક આમ આદમી પાર્ટીને, આમ આદમી લોકોને હક હોય છે જવાનો, પરંતુ ત્યાં તમે લેખિત રજૂઆત કરો. મૌખિક રજૂઆતના જવાબ દેવામાં પણ તમે લોકોની વચ્ચે જઈ અને ઉશ્કેરાટ તૈયાર કરો છો અને એમાંથી ઘર્ષણ થાય છે. તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જયરાજસિંહ જાડેજા અને ગીતાબાના નેતૃત્વ નીચે જે ગોંડલ તાલુકાના તમામ ખેડૂતોને ₹52 કરોડ જેવી ડુંગળીની સહાય આવી, ₹18 કરોડ જેવી ગત વર્ષના કપાસના વીમાની સહાય આવી, તાજેતરમાં 44,000 લેખે ખેડૂતોના ખાતામાં અત્યારે આજથી પડી રહ્યા છે, એ લગભગ ₹75 કરોડ જેવી રકમ આવશે. આમાં પણ ખેડૂતોને ₹50,000 જેવી માતબર રકમનો ફાયદો થાય છે. આવા સમયે તે લોકો ઈચ્છી નથી રહ્યા કે ખેડૂતોનું હિત થાય. ‘જિગીષાબેનને જયરાજસિંહ વિરુદ્ધનું વાતાવરણ ક્રિએટ કરવું છે’તાજેતરમાં સુલતાનપુર મુકામે જ્યારે ફોર્મ ભરતા હતા, સરકારનો 15 દિવસનો ટાઈમ હતો, ત્યાં ગયા. તો ખેડૂતોએ, ગ્રામ પંચાયતે, ગામના લોકોએ, વીસીએ સાથે મળીને નક્કી કર્યું કે જાજા ફોર્મ હોય, આપણે વધુ માણસો રાખવા પડશે. 15 દિવસમાં કામ કરવું હોય તો, એટલે વધુ માણસોનું મહેનતાણું આપવું પડે. તમે અને હું બધા સમજી શકીએ. તો એ મહેનતાણાના સ્વરૂપે કોઈ નાની-મોટી વાત થઈ હોય તો એમાં વચ્ચે ગયા. એનો એજન્ડા મહેનતાણા નીચે નહીં, મહેનતાણાનો નહોતો. એનો એજન્ડા એટલો જ હતો કે આ ગામના ખેડૂતો ફોર્મ ન ભરે તો ખેડૂતોના ખાતામાં પૈસા ન આવે. ગણેશના માણસો દ્વારા થયેલા હુમલામાં ગોંડલ પોલીસ ફરિયાદ લેતી નથીઃ AAPજ્યારે સામે પક્ષે રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયસિંહ ગુર્જરને સંબોધીને જિગીષા પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, બિલિયાળા મગફળી કેન્દ્ર સરકાર દ્વારા નિયત થયેલા પરિપત્ર મુજબ મગફળીની ખરીદી કરવામાં આવતી નથી. ગોંડલના ચારેય કેન્દ્રમાં નોંધાયેલા 32000 જેટલા ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, જેથી અહીં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવે છે. જોકે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં મદદરૂપ બનતા ખેડૂત પુત્રને ઢોર માર મારવામાં આવે છે, ત્યારે ગોંડલ ગણેશના માણસો દ્વારા થયેલા હુમલામાં ગોંડલ પોલીસ ફરિયાદ લેતી નથી પછી તાત્કાલિક ફરિયાદ લેવામાં આવે. આ પણ વાંચો....'રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા થશે' પોલીસ ગોંડલ ગણેશના ઈશારે FIR લેતી નથીઃ જિગીષા પટેલઆ બાબતે જીગીશા પટેલે જણાવ્યું હતું કે, ગોંડલના બિલિયાળા મગફળી કેન્દ્રમાં સરકારે નિયત કરેલા 35,800ને બદલે 36,200માં મગફળીની ખરીદી થાય છે. જેથી ખેડૂતોને થતા અન્યાય મામલે જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, ત્યારે આ સવાલ ઉઠાવતા ખેડૂત પુત્રને માર મારવામાં આવે છે અને પોલીસ ગોંડલ ગણેશના ઈશારે FIR લેતી નથી, જેથી આ ફરિયાદ લેવામાં આવે. પોલીસ ફરિયાદ નહિ લે તો કોર્ટનો સહારો લેશુંઃ વિમલ સોરઠિયાજ્યારે પીડિત યુવાન વિમલ સોરઠિયાએ હતું કે, બિલિયાળા મગફળી ખરીદકેન્દ્રમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો તે અંગેનો મુદ્દો ઉઠાવતા મને ગોંધી રાખી માર મારવામાં આવ્યો અને તે હુમલો ગોંડલ ગણેશના માણસો દ્વારા કરવામાં આવ્યો. જોકે ગોંડલ પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ લેવામાં ન આવતા અમે આજે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જો પોલીસ દ્વારા આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં નહીં આવે તો અંતે અમારે કોર્ટનો સહારો લેવો પડશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:19 pm

સગીરાને દીકરી બનાવી દંપતીએ દેહવિક્રયના ધંધામા ધકેલી:પૈસા લઈ સગીરાને સોંપી દેતાં, માતા-પિતાએ લગ્નનું દબાણ કરતાં ઘર છોડ્યું હતું, સંબંધ બાંધનારા 2 શખસ સહિત દંપતીની ધરપકડ

સુરત શહેરમાં માતા-પિતાના નામને કલંકિત કરનાર ઘટના સામે આવી છે. સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેહ વક્રિયના ધંધામાં ધકેલી દીધી હતી અને અલગ અલગ લોકો સાથે શારીરિક સંબંધો બંધાવી દંપત્તિએ પૈસા કમાવાનું ચાલુ કરી દીધું હતું. જો કે આ મામલે કિશોરીએ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી સહિત કુલ ચાર વ્યક્તિઓ અને તેમની સાથે શારીરિક સંબંધો બાંધનાર અજાણ્યા શખ્સો સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. દંપતીએ સગીરાને દેહવક્રિયના ધંધામાં ધકેલીમળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી એક સગીરાને તેના માતા-પિતા લગ્ન માટે દબાણ કરતા હતા પરંતુ સગીરાએ તે યુવક સાથે લગ્ન કરવા ન હતાં. જેથી તે પોતાનું ઘર છોડી તેની બહેનપણી મારફતે સુરતમાં રાણી તળાવ પાસે આવેલ મદ્રેસા પાસે નાલબંધવાડમાં રહેતા સબીના મોહમ્મદ સાજીદ મિયા મોહમ્મદ નાલબંધ પાસે આવી હતી. સબિનાએ અને તેના પતિ મોહમ્મદ સાજીદ મિયાએ સગીરાને પોતાની દીકરી બનાવી ઘરમાં આશરો આપ્યો હતો. સગીરાને નશાકારક પદાર્થ પીવડાવતાંછેલ્લા 12થી 15 દિવસના સમયગાળાની અંદર સબીના અને તેનો પતિ મોહમ્મદ સાજીદ મિયાએ ભેગા મળી સગીરાને નશાકારક પદાર્થ પીવડાવી દીધો હતો અને ત્યારબાદ પૈસા કમાવાની લાલચમાં ભરી માતા રોડ પર ફૂલવાડી ખાતે મદીના મસ્જિદ પાસે રહેતા કાદિર સદિક ધોબી પાસે સોંપી દીધી હતી અને તેમણે પોતાની શારીરિક હવસ પૂરી કરી મોહમ્મદ સાજીદ અને તેની પત્ની સબીનાને સગીરા પરત કરી હતી. જોકે ત્યારબાદ પણ દંપતીએ ભાગળ ચાર રસ્તા પાસે આવેલ એ વન ટી સેન્ટરમાં રહેતા સાહિલ સદ્દામ અન્સારીને પણ તેની પાસેથી પૈસા લઈ તેમને દીકરી સોંપી દીધી હતી. તેમણે પણ પોતાની હવસ સંતોષી દીકરીને પરત આપી દીધી હતી. અલગ અલગ લોકો સાથે શારીરિક સંબંધો બાંધવા મોકલતાંછેલ્લા 12થી 15 દિવસના સમયગાળામાં અવારનવાર મોહમ્મદ સાજીદ મિયા અને તેની પત્ની સબીનાએ સગીરાને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ તેમની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મોકલી દેહવક્રિયના ધંધામાં ધકેલી દીધી હતી. જોકે આ દરમિયાન ઘેનમાંથી બહાર આવ્યા બાદ દીકરીને કેટલીક હકીકતો માલુમ પડી હતી. જેથી તેમણે એક એનજીઓ મારફતે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બળાત્કારનો ગુનો દાખલપોલીસે મોહમ્મદ સાજીદ મિયા તથા તેની પત્ની સબીના તથા સગીરા સાથે શારીરિક સંબંધો બાંધનાર કાદીર ધોબી અને સાહિલ અન્સારી સામે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા 12 દિવસના સમયગાળાની અંદર તેમની સાથે શારીરિક સંબંધો બાંધનાર અજાણ્યા શખ્સો સામે પણ પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. હાલ તો પોલીસે સગીરાનુ મેડિકલ ચેકઅપ કરાવી આ ચારેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાએ એનજીઓ મારફતે પોલીસનો સંપર્ક કર્યોભોગ બનનાર સગીરા મોકો મળતાની સાથે જ નરાધમ મોહમ્મદ સાજીદ મિયા અને તેની પત્ની સબીનાની ચુંગાલમાંથી નીકળી ઘર છોડીને ભાગી ગઈ હતી. સગીરા ફરતા ફરતા મદદની આશમાં લીંબાયત વિસ્તારમાં પહોંચી ગઈ હતી. જ્યાં તેમણે એનજીઓ ચલાવતી એક મહિલાનો સંપર્ક કર્યો હતો અને મહિલાને પોતાની સઘળી આપવીતી જણાવી હતી. જેથી એનજીઓ ચલાવતી મહિલાએ રફીક લાલબિલ્ડીંગવાળા તથા નઇમ લાકડાવાળા તથા ફારુક શેખ અને એનજીઓમાં સંકળાયેલી અન્ય મહિલાઓ તથા સ્થાનિક લોકો સાથે ભેગા મળી સગીરાને લઈ પોલીસ કમિશનર ઓફિસે પહોંચી ગયા હતાં. જ્યાં તેઓએ પોલીસને સઘળી હકીકત જણાવતા પોલીસે ગણતરીના કલાકોમાં છાપો મારી પતિ પત્નીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ અન્ય બે આરોપીઓને પણ પોલીસે દબોચી લીધા હતાં. હાલ તો પોલીસે સગીરાની ફરિયાદને આધારે તમામ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:17 pm

ફાયર વિભાગમાં ભરતી કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ:અમદાવાદમાં લેખિત પરીક્ષા લીધા વિના જ મૌખિક ઇન્ટરવ્યૂ લઈ ભરતી કરાશે, સહાયક સ્ટેશન ઓફિસરના ઇન્ટરવ્યૂ રદ કરવા માગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરોની ભરતીમાં કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા સિવાય માત્ર મૌખિક ઇન્ટરવ્યૂ લઈને ભરતી કરવાનો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ફાયરબ્રિગેડમાં ભરતી કૌભાંડ થવા જઈ રહ્યું છે. વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી માટે લેખિત પરીક્ષા લેવાની હોય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં માત્ર ઇન્ટરવ્યૂ લેવામાં આવનાર છે. ત્યારે આ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે અને લેખિત પરીક્ષા લઈને ભરતી કરવામાં આવે એવી કોંગ્રેસે માગ કરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:15 pm

ગાંજાના સ્મગલિંગ માટે બનાવેલી બેગ જોઈ પોલીસ ચોંકી ઉઠી, VIDEO:થાઈલેન્ડથી આવેલા પ્રવાસી પાસેથી કરોડોની કિંમતનો ગાંજો ઝડપાયો, બેગ ખોલવા કારીગરની મદદ લેવી પડી

ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પરથી પણ હાઈબ્રીડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ છે. બેંગકોકથી આવેલા એક પ્રવાસીની તલાશી લઈ સુરત ક્રાઈમ બ્રાંચે 4 કિલો 35 ગ્રામ હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો હતો અને બેગ ખાલી થઈ ગઈ હોવાનું માની લીધું હતું. પરંતુ, જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેને બેગમાં હજી પણ બીજો 4 કિલો ગાંજો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જ્યારે કારીગરને બોલાવી બેગ ખોલાવી તો બેગની નીચેના ભાગે સંતાડેલો ગાંજાનો બીજો જથ્થો મળી આવ્યો હતો. સુરત પોલીસે કૂલ 3 કરોડથી વધુની કિંમતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. ગાંજાની હેરાફેરી માટે આરોપી દ્વારા બેગની ખાસ ડિઝાઈન તૈયાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ હતી. 17 નવેમ્બરે બેંગકોકથી આવેલો પ્રવાસી ગાંજા સાથે ઝડપાયોઘટનાની શરૂઆત 17 નવેમ્બર 2025ના રોજ થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાને બાતમી મળી હતી કે, બેંગકોકથી સુરત આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ (IX-263)માં એક ઈસમ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી મુંબઈના જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાને ઝડપી લેવાયો હતો. શરૂઆતમાં જ્યારે તેની બેગ તપાસવામાં આવી ત્યારે તેમાંથી 4 કિલો અને 35 ગ્રામ જેટલું 'હાઈડ્રો વીડ' (હાઈબ્રીડ ગાંજો) મળી આવ્યો હતો. જેની કિંમત આશરે 1.41 કરોડ રૂપિયા હતી. પોલીસને લાગ્યું કે કામ પૂરું થઈ ગયું, આરોપી પકડાઈ ગયો અને મુદ્દામાલ પણ મળી ગયો. પરંતુ કહાનીમાં હજુ મોટો ટ્વિસ્ટ બાકી હતો. પોલીસે જે બેગને ખાલી માની લીધી તેમાં વધુ ગાંજો હોવાની માહિતી મળી!કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ ક્રાઈમ બ્રાન્ચની આકરી પૂછપરછ શરૂ થઈ. આ દરમિયાન પોલીસને ગુપ્ત રાહે વધુ એક સચોટ બાતમી મળી કે, જાફરખાન પાસેથી જે બેગ પકડાઈ છે તેમાં હજુ પણ ડ્રગ્સનો મોટો જથ્થો છુપાયેલો છે. આ સાંભળીને પોલીસ પણ અચંબામાં પડી ગઈ કારણ કે બેગ તો પહેલેથી જ પોલીસ કબ્જામાં હતી અને ખાલી દેખાતી હતી. આ અત્યંત ગંભીર અને ટેકનિકલ મોડસ ઓપરેન્ડી અંગે માહિતી આપતા સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે,અમે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન તેની સઘન પૂછપરછ ચાલી રહી હતી. તેવામાં અમને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી કે આરોપી ઝફર પાસે હજુ વધુ મુદ્દામાલ છે. તેની પાસેથી જે લગેજ મળી આવેલ હતું, તેમાંથી ઉપરના ભાગેથી તો અમને હાઈબ્રીડ ગાંજો મળી ગયો હતો, પરંતુ તેણે રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી કે આ જ લગેજ બેગમાં કન્સિલ કરીને હજી બીજો મોટો જથ્થો પડ્યો છે જે કોઈને દેખાયો નથી. એરપોર્ટના સ્કેનરમાં ડ્રગ્સ સ્કેન ન થાય તે માટે પેકેટ ફરતે કાર્બન પેપર લગાવ્યા હતાડીસીપી રોઝીયાએ ડ્રગ્સ છુપાવવાની અત્યંત શાતિર પદ્ધતિ અંગે વધુમાં ઉમેર્યું હતું કે, આરોપીના કહેવા બાદ અમે ફરીથી તે બેગની તપાસ શરૂ કરી. બેગની બનાવટ જ એવી રીતે કરવામાં આવી હતી કે સામાન્ય નજરે કઈ દેખાય નહીં. બેગની ઉપર બીજા બેગનું એક બીજું કવર લગાવવામાં આવ્યું હતું. ખાસ કરીને બેગના ટાયર પાસે મીકેવીડી -ખાસ પોલાણ બનાવી તેની ઉપર કાર્બન પેપર મૂક્યા હતા. કાર્બન પેપરનો ઉપયોગ એટલા માટે કરાયો હતો કે જેથી એરપોર્ટના બેગેજ સ્કેનરમાં ડ્રગ્સ સ્કેન ન થાય અને બેગ આરામથી પાસ થઈ જાય. આ રીતે છુપાવેલો માલ અમે હવે કબ્જે કર્યો છે. બેગ ખોલવા માટે કારીગરને બોલાવવામાં આવ્યોઆરોપીની કબૂલાત બાદ પોલીસ સ્ટેશનમાં જ બેગનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું. સામાન્ય રીતે ચેન ખોલીને સામાન કાઢી લેવાય, પણ અહીં મામલો અલગ હતો. બેગના ગુપ્ત ખાના ખોલવા માટે પોલીસ અધિકારીઓએ ખાસ જાણકાર કારીગરને બોલાવવો પડ્યો. પેચિયા , પાના અને કટર સાથે બેગના ફિટીંગ્સ ખોલવાનું શરૂ થયું. પોલીસ તપાસના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જેવી રીતે બેગના તળિયાના પ્લાસ્ટિક અને ફાઈબરના લેયર્સ સ્ક્રૂ ખોલીને હટાવવામાં આવ્યા, ત્યારે અંદરથી કાળા રંગના કાર્બન પેપરમાં વીંટાળેલા પેકેટો નીકળવા લાગ્યા. આરોપીએ બેગના તળિયે 'ફોલ્સ બોટમ' -બનાવટી તળિયું બનાવ્યું હતું અને ટાયરની વચ્ચે રહેલી જગ્યાનો ઉપયોગ કર્યો હતો. આ બીજા તબક્કાની તપાસમાં તે જ બેગમાંથી વધુ 4 કિલો 852 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો, જેની કિંમત 1.69 કરોડ રૂપિયા થાય છે. આમ, સ્મગલરે પોલીસની નજર સામે જ અડધો માલ છુપાવી રાખ્યો હતો જે રિમાન્ડ દરમિયાન પકડાયો. કુલ 3.11 કરોડનો મુદ્દામાલ, ચેન્નઈ સુધી તાર જોડાયા સુરત ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાને કારણે કુલ 8 કિલો 887 ગ્રામ હાઈડ્રો વીડ (હાઈબ્રીડ ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિંમત 3 કરોડ 11 લાખ 7 હજાર 895 રૂપિયા આંખવામાં આવી છે.આ ડ્રગ્સ ક્યાં જવાનું હતું તે અંગે ડીસીપી રોઝીયાએ જણાવ્યું હતું કે, આ કેસના તાર તમિલનાડુના ચેન્નઈ અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલા હોવાની માહિતી મળી છે. તપાસ ચાલુ હોવાના કારણે હાલ વધારે વિગત આપી શકાય તેમ નથી, પરંતુ આ ડ્રગ્સ કોને મોકલવામાં આવ્યું હતું અને કોણ રિસીવ કરવાનું હતું તે દિશામાં અમારી ટીમ તપાસ કરી રહી છે. કોણ છે માસ્ટરમાઈન્ડ જાફરખાન?પકડાયેલ 56 વર્ષીય આરોપી જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા મૂળ મુંબઈના ટ્રોમ્બે વિસ્તારનો છે. તે રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં મારામારી અને રાયોટિંગ તેમજ MIDC પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ વખતે તેણે વિદેશથી ડ્રગ્સ ઘુસાડવા માટે સુરત એરપોર્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની બાજ નજરે તેને ઝડપી પાડ્યો.આ કિસ્સો એરપોર્ટ સિક્યુરિટી અને સ્કેનિંગ સિસ્ટમ માટે પણ એક ચેતવણી સમાન છે કે સ્મગલરો હવે 'કાર્બન પેપર' જેવી ટેકનિક વાપરીને મશીનોને પણ છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:12 pm

બોટાદમાં ગીતા મહોત્સવ-2025ની ઉજવણી:સૂર્યદીપ ખાચરનું ગીતા શ્લોક ગાન બદલ જિલ્લા કક્ષાએ સન્માન

બોટાદ ખાતે ગીતા જયંતીના શુભ દિવસે જિલ્લા કક્ષાના ગીતા મહોત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ગઢડા રોડ, બોટાદના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બોટાદના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગીતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો હતો. આ પાવન અવસરે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા શિક્ષણ પરિવારના વડા ભરતસિંહ વઢેર, સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી શ્રી માધવસ્વરૂપદાસજી, ગીતાના પ્રચાર-પ્રસારને સમર્પિત વિદ્વાન સંજયભાઈ ઠાકર અને શિક્ષણ નિરીક્ષક વિક્રમસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગીતા શ્લોક ગાન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાના ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ખાચર સૂર્યદીપ પ્રવીણભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સૂર્યદીપ ખાચરે ગીતા વૈભવ વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. તેમને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું. બોટાદ જિલ્લામાં આયોજિત આ ગીતા મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમૂલ્ય જ્ઞાન પ્રત્યે જાગૃતિ અને આદર વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:09 pm

અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના:₹100 પ્રીમિયમે ₹35,000નો વીમો, 15 ડિસેમ્બર સુધી અરજી કરો

બોટાદના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2025-26 અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પશુઓના વીમા માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 ડિસેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. લાયક પશુપાલકો આઈ-ખેડૂત પોર્ટલ 2.0 (i-khedut Portal 2.O) પર ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના ગાય કે ભેંસ ધરાવતા પશુપાલકો લઈ શકે છે. એક પશુપાલક મહત્તમ 10 પશુઓ સુધી આ યોજનાનો લાભ મેળવી શકશે. યોજના અંતર્ગત, પશુપાલકોએ ફક્ત ₹100નું પ્રીમિયમ ભરવાનું રહેશે, જેના બદલામાં પશુ દીઠ ₹35,000નો વીમો મળશે. પશુના મૃત્યુના કિસ્સામાં, પશુપાલકને સીધા ₹35,000ની સહાય મળવાપાત્ર થશે. બોટાદ જિલ્લાના તમામ લાયક પશુપાલકોને આ સુવર્ણ તકનો લાભ લેવા અને નિર્ધારિત સમય મર્યાદા (15 ડિસેમ્બર, 2025) પહેલાં વહેલી તકે ઓનલાઈન અરજી કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 3:57 pm

પોરબંદર મનપા એપ્લિકેશન પર 46 દિવસમાં 663 ફરિયાદ:432નું નિરાકરણ, 169 પેન્ડિંગ; લાઈટની સૌથી વધુ ફરિયાદો

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 15 ઓક્ટોબર, 2025ના રોજ લોન્ચ કરાયેલી નાગરિક ફરિયાદ એપ્લિકેશનને સારો પ્રતિસાદ મળ્યો છે. એપ્લિકેશન શરૂ થયાના 46 દિવસમાં, એટલે કે 1 ડિસેમ્બર, 2025 સુધીમાં, કુલ 663 ફરિયાદો નોંધાઈ હતી. આમાંથી 432 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, જ્યારે 169 ફરિયાદો હજુ પેન્ડિંગ છે. વિભાગવાર ફરિયાદોમાં, લાઇટ સંબંધિત સમસ્યાઓ સૌથી વધુ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લાઇટ બંધ રહેવા અંગે કુલ 388 ફરિયાદો મળી હતી. તેમાંથી 303 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 63 ફરિયાદોનો નિકાલ બાકી છે. સફાઈ અને માટીના કચરાને લગતી 118 ફરિયાદો મહાનગરપાલિકાને મળી હતી, જેમાંથી 78 ફરિયાદોનું નિરાકરણ થયું છે અને 21 પેન્ડિંગ છે. તેવી જ રીતે, ડ્રેનેજની સમસ્યાઓ અંગે પણ નાગરિકો દ્વારા કુલ 118 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 78 ફરિયાદોનો નિકાલ થયો છે અને 21 પેન્ડિંગ છે. શહેરના માર્ગોની ખરાબ સ્થિતિ અંગે 53 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 15નું નિરાકરણ થયું છે અને 25 પેન્ડિંગ છે. રખડતા પશુ-પ્રાણીઓની સમસ્યા અંગે 21 ફરિયાદો મળી હતી, જેમાંથી 6નો નિકાલ થયો છે અને 14 પેન્ડિંગ છે. ગાર્ડન વિભાગને શહેરના બગીચા અને ગ્રીન ઝોન અંગે કુલ 16 ફરિયાદો મળી હતી, જેમાંથી 4નું નિરાકરણ થયું છે અને 12 પેન્ડિંગ છે. પાણી પુરવઠા સંબંધિત 33 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 12નો નિકાલ થયો છે અને 19 પેન્ડિંગ છે. ફાયર વિભાગને માત્ર 1 ફરિયાદ મળી હતી, જેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકાની એપ્લિકેશન દ્વારા નાગરિકોને તેમની સમસ્યાઓ રજૂ કરવામાં સરળતા પડી છે અને તેના નિરાકરણમાં ઝડપ જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ નોંધપાત્ર સંખ્યામાં ફરિયાદો પેન્ડિંગ હોવાથી પાલિકા વિભાગોને વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 3:50 pm

જામનગર રોડની ટ્રાફિક સમસ્યા યથાવત રહેશે:રાજકોટ મનપા દ્વારા ચાલતું સાંઢીયા પુલનું કામ લંબાશે, રેલવેની મંજૂરીના અભાવે કામગીરી ધીમી પડી, મેયરે કહ્યું- કામ ઝડપથી પૂરું કરવા પ્રયાસ ચાલુ

રાજકોટ-જામનગર હાઇવે પર બનેલા સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફોરલેન બ્રિજના બાકી કામમાં વિલંબ થયો છે. હાલમાં બ્રીજની 70 ટકા કામગીરી પુરી થઈ છે. છતાં વિલંબનું મુખ્ય કારણ રેલવે વિભાગની મંજૂરી ન મળવી છે. પુલની કામગીરી ધીમી પડતાં, ખાસ કરીને હાલમાં હાઇવેનો ટ્રાફિક શહેરના અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિકજામ અને અસુવિધા સર્જાઈ રહી છે. જે નિયત સમયમર્યાદા કરતા બે મહિના વધુ લંબાય તેવી શક્યતા છે. અગાઉ જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી સ્ટે. ચેરમેને આપી હતી. જોકે હવે કામ માર્ચનાં અંત સુધી ચાલે તેવી પુરી શક્યતા છે. પ્રાપ્ત વિગત મુજબ, મોરબી દુર્ઘટના બાદ અસલામત જાહેર કરાયેલા અને પાંચ દાયકા જૂના ટુ-લેન સાંઢીયા પુલને તોડીને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચેતન કન્સ્ટ્રકશન કંપનીને ગત તા. 14-3-2024ના રોજ સોંપવામાં આવી હતી. પુલની કામગીરી પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા માર્ચ 2026 નક્કી કરાઈ હતી. જોકે જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અગાઉ સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે આપી હતી. પરંતુ રેલવેની મંજૂરી નહીં મળતા કામગીરી ધીમી પડી છે. મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે પુલની કામગીરી અંદાજે 70% જેટલી પૂર્ણ થઈ ગઈ છે. જોકે, પુલના સેન્ટ્રલ પોર્શનમાં, એટલે કે રેલવે ટ્રેક ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાનું મહત્ત્વનું કામ બાકી છે. આ કામ માટે રેલવે દ્વારા બ્લોક આપવો ફરજિયાત છે, કારણ કે અહીં તોતિંગ ગર્ડરનું લોન્ચિંગ રેલવેની મંજૂરી અને સહકાર વગર શક્ય નથી. મનપા દ્વારા ગર્ડર લોન્ચિંગની મંજૂરી માટે લગભગ ચારથી છ મહિના પૂર્વે રેલવે વિભાગને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો અને ભલામણ પણ કરાઈ હતી. તેમ છતાં, હજુ સુધી રેલવેની મંજૂરી મળી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, કોર્પોરેશનની હદમાં આવતું પુલનું અન્ય તમામ કામ ઝડપથી પૂર્ણ થઈ ગયું છે, પરંતુ રેલવેના ટ્રેક પરના ભાગની મંજૂરીમાં જ વિલંબ થઈ રહ્યો છે, જે રેલવેની નીતિને કારણે ધીમું છે. આ પુલનું કામ ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોની અસુવિધા દૂર થાય તે માટે સતત પ્રયત્નો ચાલુ છે. રેલવે દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે અને બાકીના બે બ્લોકનું કામ ઝડપથી થાય, તે માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવી ચૂકી છે. અને કામમાં કોઈ કચાશ ન રહે તેના માટે પુલના કામકાજની સ્થિતિની સમયાંતરે વિઝીટ પણ કરવામાં આવી છે. ત્યારે ઝડપથી મંજૂરી મેળવીને બાકીના બંને બ્લોક્સનું કામકાજ વહેલી તકે પૂર્ણ થાય તે માટે હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્ટે. ચેરમેને જાન્યુઆરીનાં અંત સુધી એટલે કે મનપાની ચૂંટણી પહેલા કામ પૂર્ણ કરવા માટેની ખાતરી આપી હતી. જોકે ત્યારે રેલવેની મંજૂરી મળી જશે તેમ માની લેવામાં આવ્યું હતું. પરંતુ આ મંજૂરી ન મળતા હાલ કામગીરી ધીમી થઈ છે. જેના કારણે હવે બ્રીજનું કામ માર્ચ 2026ની ડેડલાઇન સુધીમાં પણ પૂરું કરવું મુશ્કેલ છે. અગાઉ, પુલનું લોકાર્પણ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે થાય તેવી સંભાવના હતી, જે હવે નહિવત છે. જોકે મેયરે નિયત સમયમર્યાદા એટલે કે આગામી માર્ચ-2026 સુધીમાં કામ પૂરું કરવા પ્રયાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 3:47 pm

'દારૂ ન મળતો હોય એવું એકપણ ગામ નહીં હોય':અમીરગઢમાં MLA કાંતિ ખરાડીની આગેવાનીમાં કોંગ્રેસની રેલી, દારૂ-ડ્રગ્સ મુદ્દે સરકાર વિરૂદ્ધ સુત્રોચાર

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે કોંગ્રેસ આગેવાન અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સ્માર્થન અને દારૂ અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો અને ખારી ગામની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓએ ખારી ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ કરી હતી. ખારી ગામની મહિલાઓએ રજુઆત કરતાં જણાવ્યું કે, સાહેબ તમે પરમિશન આપો તો અમે બધા માટલા ફોડી દઈએ. દારૂના વેચાણને બંધ કરાવવા રજૂઆતઅમીરગઢના મુખ્ય બજારમાંથી શરૂ થયેલી આ રેલી દારૂ જુગારના અડ્ડા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચી હતી. અહીં મામલતદારને આવેદનપત્ર પાઠવી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. ખારી ગામની મહિલાઓએ ખાસ કરીને તેમના ગામમાં ચાલતા દારૂના વેચાણને બંધ કરાવવા પર ભાર મૂક્યો હતો. 'આજે જ દારૂ બંધ થવો જોઈએ'આ રજૂઆત દરમિયાન દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, ખારી ગામમાં દારૂ કોણ વેચે છે તે સૌ જાણે છે. તેમણે માંગ કરી કે આજે જ દારૂ બંધ થવો જોઈએ અને તેના માટલા ફૂટી જવા જોઈએ. દારૂ વેચનાર ભવિષ્યમાં ફરીથી આ પ્રવૃત્તિ ન કરે તેની ખાતરી સાંજે સુધીમાં મળવી જોઈએ. 'એકપણ ગામ એવું નહીં હોય કે જ્યાં દારૂ ન મળતો હોય'ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, ગુજરાતમાં ચોરે ને ચોવટે. મોટે ભાગે એક જ મુદ્દો ચાલી રહ્યો છે કે ગુજરાતની અંદર છેવાડામાં છેવાડા ગામડાની અંદર દારૂ વેચાય છે. એકપણ ગામ એવું નહીં હોય કે જ્યાં દારૂ ન મળતો હોય. જો એવું કોઇ ગામ હોય તો ગુજરાતના ગૃહમંત્રી કઈ બતાવે 'સરકાર જાણી જોઈને જનતાને હેરાન કરે છે'કાંતિ ખરાડીએ જણાવ્યું કે, દારૂ-ડ્રગ્સમાં ઘણા એવા પરિવારોએ મોભી કે દીકરા ગુમાવી દીધા છે. ગુજરાતની બહેનો આંખોમાં આંસુ લઈને ફરતી હોય, ત્યારે આ ગુજરાતના જે કર્તા-હર્તા છે, એમને હું તો જાહેરમાં એમ કહું છું કે એ પાપના ભાગીદાર છે. એમની સાચી નિષ્ઠા હોય તો અડધા કલાકમાં દારૂ આખા ગુજરાતમાં બંધ થઈ શકે છે. પણ એ જાણી જોઈને જનતાને હેરાન કરવા માંગે છે. 'અમારૂ જિગ્નેશ મેવાણીને સમર્થન છે'આદિવાસી સમાજ આગેવાન ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે આજની અમારી મુખ્ય રજૂઆત હતી કે ગુજરાતમાં જે દારૂ-ડ્રગ્સ અને ગાંજાનો બેફામ વેપાર થાય છે એ બંધ કરવામાં આવે. આ દુષણણાં ઘણી બહેનો વિધવા થઇ ગઇ છે, ઘણા પરિવારનો માળો વિખાઇ ગયો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે વાત કરી કે દારૂ-ડ્રગ્સ અને ગાંજો ગુજરાતમાં બંધ થવો જોઈએ એ વાતને સમર્થન આપવા માટે આજે અમીરગઢ ખાતે ધારાસભ્ય કાંતિ ખરાડીના અધ્યક્ષસ્થાને આજે અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. 'હું દારૂના દુષણને દુર કરાવવાની ખાતરી આપુ છું'આ અંગે અમીરગઢ પીઆઇએ જણાવ્યું હતું કે, મને અહીં આવ્યાને હજી પંદર દિવસ જ થયા છે. હું બાહેધરી આપુ છું કે આ વિસ્તારમાં ચાલતા દારૂના દુષણને હું દુર કરાવીશ અને બીજો કોઈ પણ પ્રશ્નો હોય તો અડધી રાત્રે મને ફોન કરી શકો છો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 3:47 pm