SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

ઝાંખર-વાડીનાર રોડ 10 મીટર પહોળો બનશે:10.7 કિલોમીટર લાંબા માર્ગનું આધુનિકરણ કાર્ય પૂરજોશમાં, નવા બ્રિજનું પણ નિર્માણ થશે

જામનગર જિલ્લાના ઝાંખરથી વાડીનાર સુધીના 10.7 કિલોમીટર લાંબા માર્ગનું આધુનિકરણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માર્ગને 10 મીટર પહોળો કરીને રિસર્ફેસ કરવામાં આવશે, સીસી રોડ બનાવાશે અને જૂના બ્રિજ તોડીને નવા મજબૂત બ્રિજનું નિર્માણ કરાશે. જામનગર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝાંખર-વાડીનાર રોડ આ વિસ્તાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ માર્ગ વાડીનાર પોર્ટ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને પર્યટન સ્થળ નરારા મરીન નેશનલ પાર્કને જોડે છે, જેથી તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધારે છે. આધુનિકરણના કારણે પોર્ટની પ્રવૃત્તિઓ, સુરક્ષા સંબંધિત હેરફેર અને પર્યટન માટેની અવરજવર સરળ, સુરક્ષિત અને ઝડપી બનશે, જે જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસમાં મોટો ફાળો આપશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:26 pm

NSUIએ ITIના આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું:'છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ, શૌચાલય બંધ', સમસ્યાનો નિકાલ કરવા માગ

ભાવનગર NSUI દ્વારા આજરોજ આઈટીઆઈ ખાતે પ્રાથમિક સૂવિધાના અભાવમાં કારણે આઈટીઆઈના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં NSUI કાર્યકરો અને વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. ITI માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ છે. NSUI દ્વારા ITIના આચાર્યને આવેદનપત્ર ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આજરોજ ભાવનગર શહેર NSUI પ્રમુખ, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશના મહામંત્રી અને વિધાર્થીઓ દ્વારા ITI માં પ્રાથમિક સુવિધા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જેવી કે પીવાના પાણીની સમસ્યા અને શૌચાલયો બનવવામાં આવ્યા પણ તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે નવું બિલ્ડીંગ બનવામાં આવ્યું પણ વિવિધ સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. તેને લઈ ITI માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે તેને લઈ NSUI દ્વારા ITIના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વહેલીમાં વહેલી તકે જે સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. 'છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ, શૌચાલય બંધ'આ અંગે ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી અભિજીતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડોના ખર્ચે ITIનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ છે શૌચાલય પણ બંધ છે કે વહેલી તકે અમારી માગણી છે કે આ બધી સુવિધા શરૂ કરવામાં આવે અને યુવાનો પાણી ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવા માગતેને વધુમાં કહ્યું કે, તેથી ભાવનગર NSUI દ્વારા આજે આઈ.ટી.આઈ ખાતે રજૂઆત કરવામાં આવેલ છે અને અમારી માંગણી એવી છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો નિકાલ આવવો જોઈએ નકર NSUI દ્વારા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી આઈ.ટી.આઈ ની રહેશે અને આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અઠવાડિયાની અંદર આ બધા પ્રશ્નોનો નિકાલ થઈ જશેની ખાતરી આપી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:25 pm

ખેલ મહાકુંભમાં રમતા પોલીસકર્મીનું હાર્ટ-એટકથી મોત:સુરેન્દ્રનગરમાં લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો, ડોકટરોએ સી.પી.આર. આપ્યા પણ જીવ ન બચ્યો

સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. તેઓ મૂળ પાટડીના વતની હતા અને દર વર્ષે રમતોમાં ભાગ લેતા હતા. અચાનક બેભાન થઈને ઢળી પડ્યાઆ ઘટના સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બની હતી. લોંગ ટેનિસની રમત ચાલી રહી હતી ત્યારે રાઘવદાસ વૈષ્ણવ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોકટરોએ સી.પી.આર. આપ્યા પણ...હોસ્પિટલમાં હાજર ડોકટરોની ટીમે તેમને બચાવવા માટે સતત સી.પી.આર. સહિતની સારવાર શરૂ કરી હતી. જોકે, ગંભીર હાર્ટ એટેકને કારણે ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા અને તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની સાથે રમી રહેલા અન્ય ખેલાડીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. 'મારી સામે જ રાઘવદાસ ખૂબ સારું રમી રહ્યા હતા'ખેલ મહાકુંભમાં ભાગ લેનાર જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી સામે જ રાઘવદાસ ખૂબ સારું રમી રહ્યા હતા, પરંતુ અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ લઈ જતા ડોકટરે હાર્ટ એટેક આવ્યાનું જણાવી મૃત જાહેર કર્યા. સી.યુ. શાહ હોસ્પિટલના ડોકટરે પણ પુષ્ટિ કરી કે હાર્ટ એટેક ગંભીર હોવાથી તેમને બચાવી શકાયા ન હતા. મળતી માહિતી મુજબ એમનો નાનો ભાઈ નિરંજન પણ પાંચ વર્ષ અગાઉ અમદાવાદ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા કરતા એટેક આવતા અકાળે મોતને ભેટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં, કોરોના મહામારી પછી ગરબા, ક્રિકેટ કે વોકિંગ જેવી પ્રવૃત્તિઓ દરમિયાન નાની-મોટી વયના લોકોના અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:19 pm

હિંમતનગર હાથમતી વિયર પર ઓવરબ્રિજનું 95% કામ પૂર્ણ:નવા વર્ષે લોકાર્પણની શક્યતા, ટ્રાફિક ભારણ ઘટશે

હિંમતનગરમાં ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતા હાથમતી વિયર પર નિર્માણાધીન ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 22 કરોડના ખર્ચે બની રહેલા આ ઓવરબ્રિજનું આગામી નવા વર્ષે લોકાર્પણ થઈ શકે છે.210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા આ ઓવરબ્રિજથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે. હાલમાં બંને તરફના એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે. વિયરમાં પાણી હોવા છતાં કામગીરી ચાલુ છે. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે અન્ડરપાસ તરફ અને ખેડ તસિયા તરફના એપ્રોચ રોડના છેડે કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજ પર ફૂટપાથની પેરાફીટ અને વીજ પોલના વાયરિંગની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. હિંમતનગર RB સ્ટેટના આસી. એન્જિનિયર નિર્મલભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કામગીરી અંતિમ તબક્કામાં છે. 18 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં ઓવરબ્રિજનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. આ કામગીરી પૂર્ણ થતાં આગામી નવા વર્ષે ઓવરબ્રિજનું લોકાર્પણ થઈ શકે છે. હાલમાં ઓવરબ્રિજના બંને છેડે એપ્રોચ રોડને જોડવાની કામગીરી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:19 pm

વઢવાણ જ્ઞાનશક્તિ શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ:તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં મેડલ જીત્યા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળા, વઢવાણના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ-૨૦૨૫માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભ રાજ્યભરમાં રમતગમત પ્રવૃત્તિઓ માટે જાણીતી સ્પર્ધા છે. તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં જ્ઞાનશક્તિ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. અંડર-14 કેટેગરીમાં કેરવાડીયા વિરમભાઈ ઘનશ્યામભાઈએ 100 મીટરમાં પ્રથમ સ્થાન, મકવાણા કિશનજી પ્રધાનજીએ 200 મીટરમાં પ્રથમ અને ગોળા ફેંકમાં દ્વિતીય સ્થાન, તલસાણીયા આકાશભાઈ પ્રકાશભાઈએ 400 મીટરમાં પ્રથમ સ્થાન, જ્યારે ઠાકોર યશ હિતેશભાઈએ ઊંચી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-17 કેટેગરીમાં પણ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. ખાંભલા કેવલ ચેતનભાઈએ 100 મીટરમાં દ્વિતીય, મછાર સાહિલભાઈ જામકાભાઈએ 400 મીટરમાં પ્રથમ, ધુઘલીયા આકાશભાઈ ખોડાભાઈએ 800 મીટરમાં પ્રથમ અને પેથાપરીયા મુન્નાભાઈ હીરાભાઈએ 1500 મીટરમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ અંડર-11 બેડમિન્ટનમાં ચાવડા વિવેક ભાવેશભાઈએ પ્રથમ અને અંડર-14 સ્વિમિંગમાં પટેલ પ્રાંશુ પ્રવિણભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શાળાના રમતગમત વિભાગના શિક્ષકોની નિયમિત તાલીમ અને માર્ગદર્શન રહ્યું છે. ગુરુકુળના સંચાલક આનંદપ્રિય સ્વામીજી અને શાળાના આચાર્ય સાવલિયા પિયુષભાઈએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જિલ્લા કક્ષાએ પણ ઉત્તમ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ આપી હતી. આ વિજય વિદ્યાર્થીઓની મહેનત અને નિષ્ઠાનું પ્રતિક છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:14 pm

ગોધરા અટલ ઉદ્યાન વોકવે પર ઝાડી-ઝાંખરા:નગરપાલિકાએ સફાઈ અભિયાન શરૂ કર્યું

ગોધરા શહેરના અટલ ઉદ્યાન (સીતાસાગર) વોકવે પર ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને ગંદકીને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિયાળાની શરૂઆત થતાં નગરજનોને વોકવેનો લાભ મળી રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી આ વોકવે પર અતિશય ગંદકી અને ચારે તરફ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા, જેના કારણે ગોધરાના નગરજનોને વોકવેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઘણા નાગરિકોએ વોકવે પર ચાલવાનું બંધ કરી દીધું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણે નગરપાલિકાના અધિકારીઓ પાસે વોકવેનું નિરીક્ષણ કરાવ્યું હતું. નિરીક્ષણ બાદ, તેમણે પવડી વિભાગના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ઝાડી-ઝાંખરા અને ગંદકી દૂર કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે, આજરોજ વહેલી સવારથી જ પવડી વિભાગના કર્મચારીઓ દ્વારા વોકવેની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં સિનિયર સિટીઝન સહિત ગોધરાના તમામ નગરજનો ફરીથી સ્વચ્છ અને સુવિધાયુક્ત વોકવેનો લાભ લઈ શકશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:14 pm

SPUના ત્રણ અધ્યાપકોને 6.50 લાખની સંશોધન ગ્રાન્ટ:'રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ' યોજના હેઠળ મંજૂર, અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષકોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 'રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ' યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)ના ત્રણ અધ્યાપકોને કુલ 6.50 લાખ રૂપિયાની સંશોધન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ વર્ષ 2023-24 અને 2024-25 માટે મંજૂર કરવામાં આવી છે. જેમાં ડૉ. સૌરભ એસ. સોનીને Surfactant Based Aqueous Electrolytes For Rechargable Zinc lon Batteries પ્રોજેક્ટ માટે 3.50 લાખ રૂપિયા, ડૉ. વિરાજ એન. રોઘેલિયાને Impact Of A Knowledge-Based Intervention Programme On Awareness And Attitudes Related To Menopause Among Women (35-55 Years) પ્રોજેક્ટ માટે 2 લાખ રૂપિયા અને ડૉ. કોમલબેન વિમલકુમાર પટેલને Cost-Benefit Analysis Of Residential Solar Photovoltaic Systems (RSPVS) In Anand Taluka પ્રોજેક્ટ માટે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સિદ્ધિ બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:02 pm

સૌરાષ્ટ્રમાં 6 માસમાં રૂ.4.40 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ:ખનીજ માફીયાઓ માટે મોરબી, રાજકોટ, જામનગર સ્વર્ગ સમાન, સિરામિક ઉદ્યોગોની ચીજવસ્તુઓનું ખનન વધ્યુ

સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડે છેલ્લા 6 મહિનામાં અધધ રૂ.4.40 કરોડની ખનીજ ચોરી પકડી પાડી છે. જેમાં ખનિજ માફિયા માટે રાજકોટ, મોરબી, જામનગર જિલ્લો સ્વર્ગ સમાન હોવાનું માલુમ પડયું છે. કારણકે ત્રણેય જિલ્લામાં જ 80 ટકાથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ છે. સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરીના 195 કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ મોરબી જિલ્લામાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે. રાજકોટ ઝોન ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોડની અલગ-અલગ ટીમો આખા સૌરાષ્ટ્રમાં ગેરકાયદે ખનિજ ખનન, વહન અને સંગ્રહ પર નજર રાખે છે. એપ્રિલ -2025 થી ઓકટોબર-2025 દરમિયાન ફલાઈંગ સ્કવોડે રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રૂટીન પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ હાથ ધરીને ગેરકાયદે ખનીજ પરિવહનના અધધ 169 કેસમાં રૂ.3.6 કરોડની ખનીજ ચોરી પકડી પાડી હતી. આ સાથે ખનિજ ખોદકામના 25 કેસમાં રૂ.1.30 કરોડ અને સંગ્રહના એક કેસમાં રૂ.3.49 લાખની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. સૌથી વધુ મોરબી જિલ્લામાં 47 ડમ્પર અને 12 હિટાચી મશીન સાથે રૂ.2 કરોડની વધુની ખનીજ ચોરી પકડાઈ છે. બીજા નંબરે રાજકોટ જિલ્લામાં 49 ડમ્પર અને 4 હિટાચી મશીન સાથે રૂ.97 લાખ તો ત્રીજા ખનીજ ચોરીમાં અત્યાર સુધી મહત્તમ રેતી, મોરમ, માટી, બિલ્ડીંગ લાઈમ સ્ટોન ઝડપાતા હતા પરંતુ હવે ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચાઈના કલે, ફાયર કલે, બોળ કલે સિલિકા સેન્ડના પણ ગેરકાયદે પરિવહન અને સંગ્રહના કેસ વધવા લાગ્યા છે. જોકે, આ આંકડા માત્ર ફલાઇંગ સ્કવોડની કાર્યવાહીના છે, દરેક જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા પકડાયેલી ખનીજ ચોરીનો આંક બહુ મોટો હોય છે. 6 માસમાં ક્યાંથી કેટલી ખનીજ ચોરી ઝડપાઈ? મોરબી - રૂ.2 કરોડ રાજકોટ - રૂ.97 લાખ જામનગર - રૂ.55.31 લાખ સુરેન્દ્રનગર - રૂ.28 લાખ પોરબંદર - રૂ.22.55 લાખ જૂનાગઢ - રૂ.19 લાખ ભાવનગર - રૂ.11.80 લાખ અમરેલી - રૂ.4.68 લાખ બોટાદ - રૂ.1.50 લાખ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:54 pm

બોટાદનો ઢાકણીયા રોડ બે વર્ષથી બિસ્માર:વાહનચાલકો પરેશાન, તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ

બોટાદ શહેરનો ઢાકણીયા રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગ શહેરના વિહાવાવ, તુલસીનગર, આઈટીઆઈ કોલેજ જેવા વિસ્તારો તેમજ ઢાકણીયા, નાગલપર, તુરખા સહિતના ગામોને જોડે છે. મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવા છતાં, રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ આ માર્ગ પરથી દરરોજ પસાર થતા વિદ્યાર્થીઓ, કામદાર વર્ગ અને રત્ન કલાકારો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદ દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બને છે, જેના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા તંત્ર અને રાજકીય નેતાઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, અત્યાર સુધી કોઈ સમારકામ કે નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. આના પરિણામે, લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક રસ્તો નવો બનાવવા અથવા તેનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:54 pm

જામનગરમાં મોબાઈલ શોરૂમમાંથી 15 ફોનની ચોરી:શોરૂમમાં કામ કરતા કર્મચારીએ જ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક મોબાઈલ શોરૂમમાંથી રૂ. 9.10 લાખની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી થઈ છે. આ ચોરી શોરૂમના જ એકાઉન્ટન્ટ કિશન બાવરીયાએ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સમાં 'યસ મોબાઈલ' નામનો શોરૂમ ધરાવતા રાજેશ ઉર્ફે રાજુ ગોહિલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 5 જુલાઈ 2025 થી 17 નવેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે આ 15 મોબાઈલ ફોન ચોરાયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, શોરૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો કિશન બાવરીયા વેપારીની નજર ચૂકવીને ફોન ચોરી ગયો હતો. હાલ તે ફરાર છે. સિટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે અને ફરાર એકાઉન્ટન્ટને શોધવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:54 pm

ગઢડાનો મુખ્ય માર્ગ ખખડધજ બન્યો:કમોસમી વરસાદથી ધોવાયો, વાહનચાલકોને અકસ્માતનો ભય

ગઢડા શહેરના હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા અને સામાકાંઠા સુધીનો મુખ્ય માર્ગ ફરી ખખડધજ બન્યો છે. કમોસમી વરસાદ બાદ આ ધોરીમાર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરવામાં આવી છે. આ મુખ્ય માર્ગ પર આવેલા બ્રિજ પર પણ તિરાડો પડી છે અને ખાડાઓ જોવા મળી રહ્યા છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ હોવાથી અહીં વાહનો અને યાત્રાળુઓની સતત અવરજવર રહે છે. રસ્તાની આ ખરાબ સ્થિતિને કારણે યાત્રાળુઓ અને સ્થાનિકો પણ પરેશાન છે. અગાઉ તંત્ર દ્વારા આ ખાડાઓને માટીકામ કરીને પૂરવામાં આવ્યા હતા. જોકે, કમોસમી વરસાદના કારણે આ કામગીરી ધોવાઈ ગઈ છે અને રસ્તો ફરીથી બિસ્માર હાલતમાં આવી ગયો છે. ગઢડાથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના મોટા શહેરોને જોડતો આ ધોરીમાર્ગ અત્યંત વ્યસ્ત રહે છે. ગઢડામાં પ્રવેશવા માટે હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા વિસ્તારમાંથી પસાર થવું પડે છે, જે માર્ગ હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે. હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર અને બે મુખ્ય સ્વામિનારાયણ મંદિરોને કારણે યાત્રાળુઓની ભીડને જોતાં, આ ખખડધજ રસ્તો ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. કોઈ મોટી દુર્ઘટના ન બને તે પહેલાં તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો અને લોકોની પ્રબળ માંગ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:50 pm

ઉત્તર ભારતીય વિકાસ પરિષદે રક્તદાન શિબિર યોજી:મહેશ સિંહ કુશવાહના જન્મદિવસ નિમિત્તે 72 યુનિટ રક્ત એકત્ર થયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 72 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિર ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશ સિંહ કુશવાહના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી. વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાનો કુલદીપ રાજપૂત અને સુશીલ રાજપૂત દ્વારા સેવાના ઉદ્દેશ્યથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાધવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ અને શહેરાધ્યક્ષ વિનય મિશ્રા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે ,કુલદીપ રાજપૂતની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે પ્રદેશ અધ્યક્ષ સમક્ષ કુલદીપ રાજપૂતને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:45 pm

વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠ દ્વારા પ્રતિભા સન્માન:વકાલત ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) વિધિ પ્રકોષ્ઠ દ્વારા 15 નવેમ્બરના રોજ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વકાલત ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી સમાજમાં પ્રેરક ઉદાહરણ પૂરું પાડવાનો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે 81 વર્ષીય કર્નલ વિનોદ ફાળનેકર અને ફેમિલી કોર્ટ કાઉન્સેલર, નિઃસ્વાર્થ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડવોકેટ શ્રીમતી શિલ્પા દવે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોના પ્રેરણાદાયી વક્તવ્યથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌનો ઉત્સાહ વધ્યો હતો. મુખ્ય અતિથિઓના વક્તવ્ય બાદ, તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.નિઃસ્વાર્થ ફાઉન્ડેશન સંસ્થા તરફથી એડવોકેટ શ્રીમતી શિલ્પા દવે અને તેમની ટીમે વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:42 pm

તથ્ય પટેલ સામે અઢી વર્ષે ફ્રેમ થશે:ઇસ્કોન બ્રિજ પર 9ને મોતને ઘાટ ઉતારનારો લાંબા સમયે દેખાયો, નીચી મુંડી રાખીને આવ્યો

વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. આજે તેની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. જેથી તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.ત્યારબાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. 141ની સ્પીડે જેગુઆર દોડાવી અકસ્માત સર્જતા 9 લોકોના મોત નિપજ્યા હતાઆ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ ઉપરાંત કુલ 12 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યે 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. તથ્યને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ક્યાંયથી પણ જામીન મળ્યા નથી. આ ઘટના અને તથ્યને જેલમાં બંધ થયાને 2 વર્ષ પૂર્ણ થયા છે. આરોપી સામે IPC 304 લાગે કે 304 A લાગે તેની રિવિઝન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ બનાવ 20 જુલાઈ 2023નો છે. જેમાં આરોપી સામે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને સાહેદોના CRPC 164 મુજબ મેજિસ્ટ્રર સમક્ષ નિવેદન લેવાયા હતા. તથ્ય પટેલ બે વાર હંગામી જામીન મેળવી આવી ચૂક્યો છેજો અરજદારની રિવિઝન અરજી મંજૂર થાય તો તેની ઉપર લાગેલી કલમો પૈકીની સજા જેલમાં કાપી લીધી છે. રિવિઝન અરજીમાં વધુ સુનવણી ન થાય ત્યાં સુધી, હાઇકોર્ટે તથ્યને ચાર્જફ્રેમ વિરુદ્ધ વચગાળાની રાહત યથાવત રાખી હતી. વળી પીડીતોએ આ કેસમાં વધુ તપાસ માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. તથ્ય અત્યાર સુધીમાં બે વખત હંગામી જામીન ઉપર પોલીસ જાપ્તા સાથે બહાર આવેલ છે. જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું હતું, જ્યારે બીજી વખત તેની માતાના ઓપરેશનની તારીખ હતી. ચાર્જફ્રેમ થતા હવે કેસની આગળ ટ્રાયલ ચાલશેઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 7 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી. જો કે તેને તેની ઉપર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી. શું છે સમગ્ર ઘટના?19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. તથ્ય પટેલ સામે અકસ્માતથી લઈ આજદિન સુધી કોર્ટમાં શું શું થયું તે ગ્રાફિક્સની મદદથી સમજીએ...

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:39 pm

કડીની PMG ઠાકર સ્કૂલ કબડ્ડીમાં જિલ્લા ચેમ્પિયન:ભાઈઓ-બહેનોની ટીમોએ મહેસાણા જિલ્લામાં ગોલ્ડ મેડલ જીત્યા

મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં કડીની પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની ભાઈઓ અને બહેનોની ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તા. 17 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. જેમાં પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલની અંડર-14 અને અંડર-17 ભાઈઓની ટીમે સમગ્ર મહેસાણા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, અંડર-14 બહેનોની ટીમે પણ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ જીત બદલ કબડ્ડી રમતના કોચ સેજલબેન અને ટ્રેઈનર હનોકભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય જીગ્નેશભાઈ સોની, નિ.સે. પટેલ સંસ્કાર મંડળના મહામંત્રી બનસીભાઈ ખમાર અને પ્રમુખ નીતિનભાઈ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બાળકો રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા, કડી નગર અને મહેસાણા જિલ્લાનું નામ રોશન કરશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:36 pm

લંડનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયું:બ્રિટનમાં 'મારી ઈંટ મા નાં મંદિરે' અભિયાન ચલાવવા સંકલ્પ;આર.પી. પટેલ

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું 9 સભ્યોનું પ્રતિનિધિમંડળ બ્રિટનના પ્રવાસે છે. ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના વડપણ હેઠળ આ પ્રતિનિધિમંડળ રવિવારે લંડનના કેપી સેન્ટર ખાતે ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સ્નેહમિલનમાં જોડાયું હતું. આ સ્નેહમિલનમાં વિશ્વઉમિયાધામના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ આર.પી. પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિ, સમાજના સર્વાંગી વિકાસ અને યુવા જાગૃતિ માટે 504 ફૂટ ઊંચા મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડિસેમ્બર 2027માં ઉજવવામાં આવશે. તેમણે દરેક પરિવારને 'મારી ઈંટ મા નાં મંદિરે' અભિયાનમાં જોડાઈને દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી. લંડનના આ સ્નેહમિલનમાં સંસ્થાના ઉપપ્રમુખ ડી.એન. ગોલ, શશીભાઈ વેકરિયા, વેલજીભાઈ વેકરિયા અને સમાજના પ્રમુખ સુરેશભાઈ કણસાગરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ ડી.એન. ગોલ, દિનેશભાઈ પટેલ, શશીભાઈ વેકરિયા અને નરેશભાઈએ પણ પ્રેરણાત્મક સંબોધન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:33 pm

મુલદ ટોલટેક્સ પાસે હાઈવા ટ્રકમાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી

ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલદ ટોલટેક્સ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ ભભૂકી ઉઠતા વાહનચાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. મુલદથી ઝાડેશ્વર તરફ જઈ રહેલા આ ટ્રકમાં આગ લાગતા થોડી જ ક્ષણોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ સમયસર આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને અધિકારીઓ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:32 pm

મહેશ્વરી સમાજે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કર્યું:ગુજરાતના બાળકો માટે વિવિધ શહેરોમાં ભાગીદારી

ગુજરાત મહેશ્વરી સમાજ દ્વારા નાના બાળકો માટે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમાજના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ આયોજન મહેશ્વરી સમાજના ગુજરાતના દરેક શહેરમાં કરવામાં આવ્યું હતું, જ્યાંથી નાના બાળકોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:31 pm

ડો.જયનારાયણ વ્યાસે 'હિંદ સ્વરાજ' પર વક્તવ્ય આપ્યું:પાટણના પુસ્તકાલયમાં 'મને જાણો' કાર્યક્રમ અંતર્ગત ગાંધી વિચાર રજૂ કર્યા

પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત 'મને જાણો' કાર્યક્રમ અંતર્ગત રવિવારે ડો. જયનારાયણ વ્યાસે 'હિંદ સ્વરાજ' પુસ્તક પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે આ પ્રસંગે ગાંધીજીના વિચારો અને દર્શનનું ચિંતન-મનન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલી રહ્યો છે. પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાએ સૌનું સ્વાગત કર્યું હતું અને પુસ્તકાલયની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે ભારતભરમાં ખ્યાતિ ધરાવતા વક્તાઓ પુસ્તકાલયમાં વક્તવ્ય આપવા આવી રહ્યા છે તે અંગે આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો. ડો. જયનારાયણ વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગાંધીજીનું ચિંતન અને દર્શન સમય નિરપેક્ષ છે. ગાંધીજીને પ્રેમ કરી શકાય અથવા ધિક્કારી શકાય, પરંતુ તેમને અવગણી શકાય નહીં. તેમણે 'હિંદ સ્વરાજ'ને માત્ર પુસ્તક નહીં, પરંતુ એક યુગનો ઘોષણાપત્ર અને વિચાર ક્રાંતિનો પ્રકાશ સ્તંભ ગણાવ્યું હતું. વ્યાસ સાહેબે સ્વરાજ્યની વ્યાખ્યા કરતા કહ્યું કે તે સ્વનિયમ, સ્વધર્મ, સ્વઅનુરાગી, સ્વવિવેક અને આત્મનિર્ભરતા દ્વારા પ્રાપ્ત થાય છે. સાચી પ્રગતિ મશીન અને ભોગવિલાસમાં નહીં, પરંતુ ચારિત્ર્ય અને માનવસેવા દ્વારા થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'હિંદ સ્વરાજ'ના જુદા જુદા પ્રકરણોમાં ગાંધીજીના વિચારો આજે પણ અત્યંત પ્રસ્તુત છે. તેમણે કહ્યું કે માનવી મશીનનો ગુલામ બની ગયો છે અને શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ હોવું જોઈએ. પશ્ચિમી દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જીવનના પાઠ ભણાવે તેવું શિક્ષણ હોવું જોઈએ. પ્રગતિ માટે અસંતોષ સારો છે. તેમણે ઉમેર્યું કે હિંદુસ્તાન અંગ્રેજોએ લીધું ન હતું, પરંતુ આપણા વેરઝેરને કારણે આપણે તેમને આપ્યું હતું. સમાજ સ્વસ્થ, નૈતિકતા અને સહજીવન આધારિત હોવો જોઈએ. ગાંધી વિચારનું આંતરિક બળ ચારિત્ર્ય અને સત્યનિષ્ઠા છે, જ્યારે નિર્ભેળ પ્રમાણિકતા અને મૂલ્યનિષ્ઠતા તેના પાયા છે. અતિશય ભૌતિકતા માણસને ખોખલો બનાવી દે છે. તેમણે 'કોઈ કામ નાનું નથી' અને 'મારું જીવન એ જ મારો સંદેશ છે' જેવા ગાંધીજીના સૂત્રો ટાંક્યા હતા. પ્રગતિનો માર્ગ સ્ટાર્ટઅપ, નોકરી કે ટેકનોલોજી નહીં, પરંતુ આત્મશક્તિ, નૈતિકતા અને સામાજિક જવાબદારી છે. આ પ્રસંગે ડો. જયનારાયણ વ્યાસ દ્વારા લખાયેલા પુસ્તકો પુસ્તકાલયને ભેટ આપવામાં આવ્યા હતા. અશોકભાઈ વ્યાસ દ્વારા વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો. કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિનેશભાઈ પ્રજાપતિ અને કનુભાઈ પટેલ વગેરે દ્વારા શાલ ઓઢાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુસ્તકાલય પરિવારના સભ્યો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:28 pm

ખેલ મહાકુંભ;હેન્ડબોલની બંને ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા:દીવાન-બલ્લુભાઈ શાળાની U-17 ટીમોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા મોટેરાના સંત આશારામજી ગુરુકુળ ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ માધ્યમિક શાળા, કાંકરિયાની ગુજરાતી માધ્યમની U-17 બહેનો અને U-17 ભાઈઓની ટીમે પ્રથમ વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિજેતા બનેલી હેન્ડબોલની બંને ટીમને કોચ દિલીપભાઈ ડાભી, વ્યાયામ શિક્ષક દશરથભાઈ ગોલતર અને આચાર્ય પ્રકાશભાઈ જાનીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:24 pm

અંબે સ્કૂલમાં 'લાઇફ અંડર ધ સી' પ્રોજેક્ટ રજૂ થયો:પૂર્વ-પ્રાથમિકના બાળકોએ દરિયાઈ જીવનનું મહત્વ સમજાવ્યું

અંબે સ્કૂલ – હરણી CBSE યુનિટ દ્વારા પૂર્વ-પ્રાથમિક વિભાગનો “લાઇફ અંડર ધ સી” (Life Under the Sea) પ્રોજેક્ટ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સર્જનાત્મક મોડેલો, ભૂમિકા ભજવણી (role-plays) અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પાણીની અંદરની દુનિયાને જીવંત બનાવી હતી. બાળકોએ રંગબેરંગી પોશાકો, કલા, સંગીત અને વાર્તા કહેવા દ્વારા વિવિધ દરિયાઈ જીવોનું આત્મવિશ્વાસ સાથે નિરૂપણ કર્યું.આ પ્રોજેક્ટ દ્વારા દરિયાઈ જીવન અને મહાસાગર સંરક્ષણનું મહત્વ પ્રકાશિત કરવામાં આવ્યું. સાથે જ, વિદ્યાર્થીઓને આનંદદાયક પ્રત્યક્ષ શિક્ષણનો અનુભવ પણ મળ્યો. વાલીઓએ નાના બાળકો દ્વારા દર્શાવવામાં આવેલા પ્રયત્નો અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિતભાઈ શાહ, નિયામક ભાવેશ શાહ અને નિયામક મિતલબહેન શાહ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:23 pm

ગાંધીનગરના 7 ગામના ગ્રામજનોની આક્રોશ રેલી:વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થતા કલેકટર કચેરી પહોંચ્યા, આંદોલનની ચીમકી

ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. 7 ગામના ગ્રામજનો દ્વારા બેનરો સાથે રેલીગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આજે કલેકટર કચેરીએ હાથમાં બેનરો સાથે 250થી વધુ લોકો રેલી સ્વરૂપે પહોંચ્યા હતાં. પાંચ પ્રશ્નોના નિકાલની માગમહામંડળ દ્વારા મુખ્યત્વે પાંચ પ્રશ્નોના નિકાલની માંગણી કરવામાં આવી છે. અસરગ્રસ્તોની માગ છે કે, 1997ની મંત્રી સ્તરની બેઠકો અને મહેસૂલ વિભાગના 2016ના પરિપત્ર મુજબ મકાનોના ભોગવટાને નિયમિત કરી આપવા, 7 ગામના મૂળ નિવાસીઓને રહેણાંકની જરૂરિયાત પૂરી કરવા માટે નવા આવાસ બનાવી આપવા અથવા રહેણાંકના પ્લોટ ફાળવવા, સરદાર સરોવરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને જે લાભો (રહેણાંકના પ્લોટ/ખેતીની જમીન) મળ્યા છે, તેવા જ લાભો ગાંધીનગરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને પણ આપવા આવે. ઉપરાંત અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલ ચીપટાઇપની દુકાનોને ભાડા પદ્ધતિના બદલે માલિકી હકકે ફાળવવામાં આવે. 7 ગામોને ગાંધીનગર શહેર સમકક્ષ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. 'પ્રશ્નો અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો'આ અંગે મહામંડળ પ્રમુખ ભરતસિંહ બિહોલા જણાવ્યું છે કે, આ પ્રશ્નો અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પ્રશ્નોની ગંભીરતાને ધ્યાનમાં લઈને તા. 15 જૂન 2022 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ તા. 3 જુલાઈ 2023 ના રોજ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પણ આ બાબતે બેઠક મળી હતી. મુખ્ય સચિવએ અગ્ર સચિવ (શહેરી વિકાસ વિભાગ), કલેકટર ગાંધીનગર અને મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને આ પ્રશ્નો અંગેની જરૂરી વિગતો તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું હતું. બે વર્ષથી વધુ સમય વીત્યો કોઈ નક્કર કાર્યવાહી થઈ નથીજોકે, મુખ્ય સચિવની સૂચનાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે 7 ગામના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી અને અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. 'હકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન થશે'મહામંડળે કલેક્ટર મારફતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, જો આ પ્રશ્નો બાબતે તાકીદે હકારાત્મક નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો આપીને આંદોલન શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:09 pm

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ST બસ ઘૂસી:6 વિદ્યાર્થીઓ વલસાડથી મહેસાણા કોલેજની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, 19 લોકોને ઈજા

વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ST બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ છે. આ તમામ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:49 am

હવે મોબાઈલમાં નેવિગેશન સાથે રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ મળશે:ગુજરાત પોલીસનું સ્વદેશી એપ ‘મેપલ્સ’ સાથે MOU; બંધ રોડ, અકસ્માત ઝોન, સ્પીડ લિમિટ સહિતની માહિતી આંગળીના ટેરવે

ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. હવે નાગરિકો-વાહનચાલકોને નેવિગેશનની સાથે-સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરીની અપડેટ આગળીના ટેરવે આપશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. તે ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીયલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે. બંધ કરાયેલા રોડની રિયલ ટાઈમ અપડેટ મળશેMoU મુજબ, ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી (Road Closures), પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન-રિપેર એક્ટિવિટિઝ, રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે, જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે. નાગરિકોને એપ ડાઉનલોડ કરવાની અપીલઆ MoUના સંદર્ભમાં તમામ જિલ્લાના પોલીસને આ હેતુ માટે બનાવેલા વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા મેપમાયઇન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ આપવામાં આવી છે. ડેટા અપડેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત પોલીસ વાહનચાલકો માટે તેમની મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રીઅલ-ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટ્સ આપવા માટે મેપમાયઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે. આ સાથે કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને મેપમાયઇન્ડિયા (Mapmyindia) એપનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જાણો આ એપ પર કઈ કઈ માહિતી મળી શકશે મેપલ્સ એપના નવા ફીચર્સ એપમાં રિયલ ટાઈમ મળતી અપડેટ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:42 am

દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના:લાંચ નહીં, સન્માન આપો, તગડો પગાર મળે છે, કામ કરી ઉપકાર કરતો નથી; રાજકોટ મનપામાં BSFમાંથી આવેલા અધિકારીએ પોસ્ટર લગાવ્યા

રાજકોટ સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં BSFમાંથી આવેલા એક અધિકારીએ લાંચ-રૂશ્વતનો વિરોધ કરવા અનોખો પ્રયાસે કર્યો છે. આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં 'દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના' હેડિંગ સાથે 'મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, તમારૂ કામ કરૂં તેમાં કોઈ ઉપકાર કરતો નથી, તો લાંચ ઓફર કરીને મારૂ અપમાન કરશો નહીં' સહિતનું લખાણ લખેલા પોસ્ટર લગાવ્યા છે. આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાડી લાંચ આપી કામ કરાવવા માગતાં તત્ત્વોને દૂર રહેવા અને લાંચ નહીં, પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ અરજદારોને આપ્યો છે. દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રુશવતની ઓફર કરી મારું અપમાન કરશો નહી. તમારું વાજબી કામ હું કરી આપું, તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો. તમારું કોઇપણ ગેરવાજબી કામ હું પૈસા લઇને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું. કારણે કે, હું ભારતીય નાગરિક છું.’ લાંચ-રૂશ્વત આપવાનો પ્રયાસ કરે નહીં તેવા હેતુથી પોસ્ટરો લગાવ્યાદિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં પોસ્ટર લગાવનારા સૂર્યપ્રતાપસિંહે જણાવ્યું હતું કે, હું અગાઉ BSFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો. ત્યાંથી નિવૃત્ત થયા બાદ મનપાની આવાસ યોજના શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવું છુ. મારા મિત્રએ આ લખાણ મારા ધ્યાન પર મુક્યું હતું. જે મને સારી વાત લાગતા અને ખૂબ જ ગમી જતા મારી કચેરીની અંદર અને બહાર પોસ્ટર લગાવ્યા છે. મારુ સ્પષ્ટ માનવું છે કે, લોકોનું અમે કામ કરીએ છીએ તેનો અમને પગાર મળે છે. અરજદારોએ અમને થેન્ક્યૂ કહેવાની કોઇ જરૂર જ નથી. તેમજ કોઈ લાંચ-રૂશ્વત આપવાનો પ્રયાસ પણ કરે નહીં તેવા હેતુથી આ પોસ્ટરો લગાવાયા છે. કેવી રીતે અરજી કરવી તે સહિતની માહિતી સ્ટાફે આપી: અરજદારઆવાસ યોજનામાં કામ માટે આવેલા નાનુબેન ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું આવાસ માટે 5 વાર કરતા વધુ અહીં આવી ચૂકી છું. મને દરેક વખતે ખૂબ જ સારો જવાબ આપવામાં આવ્યો છે. કેવી રીતે અરજીઓ કરવી તે સહિતની માહિતી સ્ટાફ દ્વારા આપવામાં આવી છે. આ સિવાય આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગઈ હતી તે પણ તરત કાઢી આપવામાં આવ્યું હતું. અને ટૂંક સમયમાં સરળ હપ્તે આવાસ પણ મળી જાય તેવું લાગી રહ્યું છે. ખરેખર આવાસ વિભાગમાં જે પોસ્ટર લાગ્યા છે તેના મુજબ આખી કચેરીમાં કામ થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે. આવાસ યોજનાની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવું સોફ્ટવેર બનાવ્યુંઉલ્લેખનીય છે કે, સૂર્યપ્રતાપસિંહે આવાસ યોજનાનો હવાલો સંભાળ્યા બાદ આવાસની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવો સોફ્ટવેર બનાવ્યો છે. આવાસ યોજના શાખામાં નવા આવાસો ક્યારે બનાવવાના છે તેની તપાસ માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધક્કાઓ ખાતા અટકાવવા તેમણે બનાવેલા આ સોફ્ટવેરમાં આવાસ યોજનાની માહિતી મેળવવા માટે આવેલા અરજદારોનું રજિસ્ટ્રેશન કરી તેમને જોડવામાં આવ્યા છે અને જ્યારે નવી આવાસ યોજના જાહેર થાય ત્યારે તુરંત તેમને SMS દ્વારા જાણ થઇ જાય તેવી ગોઠવણ સોફ્ટવેરમાં કરવામાં આવી છે. સોફ્ટવેર દ્વારા અરજદારને મેસેજ કરીને ફોર્મ ભરી દેવાની સૂચના પણ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:39 am

વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું:જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો, લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાનો અંદાજ છે. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ હતી. સવારના સમયગાળા દરમિયાન લોકો સ્વેટર, જેકેટ અને મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર વિસ્તારમાં ઠંડા પવનોનો અનુભવ થતાં શિયાળાનો અહેસાસ વધુ સ્પષ્ટ બન્યો હતો. મોર્નિંગ વૉક અને કસરત માટે નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઠંડી વધતા ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના તાલુકાવાર તાપમાન નીચે મુજબ નોંધાયા છે:

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:18 am

સુરતમાં એપાર્ટ.ના ચોથા માળે મકાનમાં બ્લાસ્ટ, વિસ્ફોટનો LIVE વીડિયો:રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી, ફ્રીજના કમ્પ્રેસર સુધી આગ પહોંચતાં ધડાકો થયો

સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલા ચાર માળાના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્વેલરી પોલિસિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી. આ આ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા તેમાં ધડાકો થયો હતો. જેના પગલે બિલ્ડીંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડીને બહાર નીકળી ગયા હતાં. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતા અટકાવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. ગેસ સીલીન્ડર લીકેજ થયો ને આગ લાગી મળતી માહિતી પ્રમાણે સુરતના રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એક મકાન આવેલું છે. જેમાં ચોથા માળે જ્વેલરી પોલિસીંગ કરવામાં આવે છે અને આ સાથે જ ત્યાં કારીગરો પણ રહે છે. આજે બપોર બાદ કારીગરો દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી હતી ત્યારે ગેસ સીલીન્ડર લીકેજ થયો હતો અને આસપાસમાં રહેલા ગાદલાઓ સહિતના સામાનમાં આગ લાગી ગઈ હતી. ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી કે હાજર ત્રણ જેટલા શખ્સો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. આગ પ્રસરીને ફ્રીજ સુધી પહોંચી, કમ્પ્રેસરમાં ધડાકો થયો ગાદલાઓ સહિતના સામાનમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં જ ફ્રીજ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્રિજનું કમ્પ્રેસરમાં ધડાકો થયો હતો. ધડાકો થતા ની સાથે જ બિલ્ડીંગમાં રહેલા તમામ લોકો બિલ્ડીંગ માંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી લોકો દોડી પણ આવ્યા હતા. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરી ગઈ હતી. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આગનો કોલ મળતાની સાથે જ ઘાંશી શેરી, મોગલીસરા અને કતારગામ ફાયર સ્ટેશનની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચાર માળના મકાનમાં ચોથા માળે આગ લાગી હોવાથી કતારગામ ખાતેનું ટર્ન ટેબલ લેડર પણ રવાના કરવામાં આવ્યું હતું. મકાનમાં જ્વેલરી પોલિસીંગ કરવામાં આવતું હતું ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવવામાં આવી હતી. જ્વેલરી પોલિસીંગ કરવામાં આવતું હોવાથી ત્યાં બેથી વધુ ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા. આગે સિલિન્ડર સુધી આગ ન પહોંચવા દઈને ફાયર વિભાગ દ્વારા એક મોટી દુર્ઘટનાને અટકાવી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યોફાયર વિભાગ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આ આજ્ઞા પગલે ગાદલા સહિતનો સામાન, વાયરીંગ, ફ્રીજનું કોમ્પ્રેસર ફાટી હોવાથી આખું ફ્રીજ તહેસનહેસ નહીં થઈ ગયું હતું. આ સાથે જ વાયરીંગ અને ફર્નિચર નો સામાન મળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:14 am

નવસારી જિલ્લામાં શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો:બે માસમાં 400થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા, રખડતા શ્વાનોને કાબૂમાં લેવા કાર્યવાહી શરૂ

નવસારી જિલ્લામાં શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનામાં, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન, સિવિલ હોસ્પિટલમાં 428 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા છે. ડોક્ટર સિંહ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબરમાં 258 કેસ નોંધાયા હતા, જ્યારે નવેમ્બરમાં અત્યાર સુધીમાં 170 કેસ સામે આવ્યા છે. આ આંકડા રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને તેનાથી થતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો શહેરીજનોને રખડતા શ્વાનોથી દૂર રહેવાની સલાહ આપે છે. ડોક્ટરોએ એ પણ સ્વીકાર્યું છે કે, રખડતા કૂતરાઓને ભોજન આપવું બિનજરૂરી છે અને રહેણાંક વિસ્તારોથી દૂર તેમને ભોજન આપવું જોઈએ. શ્વાન આક્રમક બને ત્યારે તેના કાન ઊંચા થઈ જાય છે, પૂંછડી સીધી થઈ જાય છે અને પગ પાછળ લઈ જાય છે. આવા સમયે શ્વાનથી દૂર રહેવું સલામત છે. નાના બાળકોને શ્વાનોથી દૂર રાખવા જોઈએ, કારણ કે બાળકો તેમની સાથે રમતી વખતે ઘણીવાર શ્વાન આક્રમક બની કરડી શકે છે. જો શ્વાન કરડે, તો ઘાવને 15 મિનિટ સુધી સાબુ અને પાણીથી સાફ કરવો જોઈએ. આનાથી ઘાવ પરના જીવાણુઓ ધોવાઈ જશે અથવા નિષ્ક્રિય થઈ જશે. એકવાર રેબીસ (હડકવા) થઈ જાય તો તેની કોઈ રસી શોધાઈ નથી, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જોકે, શ્વાન કરડ્યા પછી લેવાની રસી દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. રખડતા શ્વાનોની સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે માસ વેક્સિનેશન જરૂરી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રખડતા શ્વાનને કાબૂમાં લેવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:10 am

નવા-વાહનની ખરીદી પર 1.50થી 3.50 ટકા ટેક્સ મહેસાણા મનપા વસૂલશે:વ્હિકલ ટેક્સ મુલત્વી રાખવા MLAની કમિશનરને રજૂઆત, સામાન્ય નાગરિકોને આર્થિક ભાર પડે તેમ છે

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં વ્હીકલ ટેક્સ લાગુ પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. નવા વાહન ખરીદી ઉપર કર લાગુ કરવા 1.50થી 3.50 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે.જેમાં મહેસાણા મનપા વિસ્તારમાં આગામી સમયમાં લાગુ પડવા જઈ રહેલ વ્હિકલ ટેક્સ મુલત્વી રાખવા મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરી છે. મહેસાણા શહેરના વાહન માલિકો, રિક્ષા ચાલકો, નાના વેપારીઓ અને દૈનિક મુસાફરી કરતા મધ્યમ વર્ગના નાગરિકો પર વાહન વેરો લાગુ કરવાની પ્રક્રિયા હાલ પુરતી મુલતવી રાખવાની ભલામણ કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો પર ટેક્સનો વધારાનો આર્થિક ભાર પડે તેમમહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સામાન્ય નાગરિકો પર ટેક્સનો વધારાનો આર્થિક ભાર પડે તેમ છે. શહેરના મધ્યમ વર્ગના અને રોજિંદા વાહન ઉપયોગ કરતા નાગરિકો માટે આ ટેક્સ તાત્કાલિક રીતે લાગુ કરવો અયોગ્ય રહેશે. જેથી આ વ્હીકલ ટેક્સ મોકૂફ રાખવા મહેસાણા પાલિકાના કમિશ્નર રવીન્દ્ર ખટાલેને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પત્ર લખી રજૂઆત કરી છે. નવા વાહન ખરીદી પર 1.50થી 3.50 ટકા ટેક્સમહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યાના 10 મહિના પછી મનપા વિસ્તારમાં આજીવન વાહનવેરો (વ્હીકલ ટેક્સ) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વાહન ખરીદી ઉપર કર લાગુ કરવા 1.50 થી 3.50 ટકા સુધીના સૂચિત દરો નક્કી કરાયા છે. 22 નવેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો રજૂ કરી શકાશેશહેરીજનો આગામી તા.22 નવેમ્બર સુધીમાં આ સૂચિત દરો સામે વાંધા અને સૂચનો રજૂ કરી શકશે. ત્યાર બાદ મિલકતદારોને નવા વાહન ખરીદીમાં કોર્પોરેશન ટેક્સ લાગુ થઇ શકે છે. જેમાં ટુ વ્હીલર ખરીદીમાં 1.50 ટકા ટેક્સથી લઇને રૂ.5 લાખથી વધુ કિંમતનાં વાહનની ખરીદી પર 3.50 ટકા સુધીના ટેક્સ નખાયો છે. '1.50થી 3.50 ટકા સુધીનો આજીવન વાહનવેરો લેવાનું નક્કી કર્યું'વાહન ટેક્સ શા માટે તેમ પૂછતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે, શહેરના ડેવલપમેન્ટ માટે સરકારની ગ્રાન્ટ આવે છે. ત્યાર પછી મેન્ટેનન્સ અને પગાર વગેરે ખર્ચ મનપાના સ્વભંડોળથી કરવાના હોય છે. ટેક્સની આવક પણ જરૂરી હોય છે. જેથી મહાનગરપાલિકાએ 1.50થી 3.50 ટકા સુધીનો આજીવન વાહનવેરો લેવાનું નક્કી કર્યું છે. 22 નવેમ્બર સુધી વાંધા-સૂચનો બાદ અંતિમ નિર્ણય લેવાશે. નવા ટુ વ્હીલર ખરીદી ટેક્સ અમલમાં આવ્યા બાદ આટલો ટેક્સ લાગી શકે આ મહાનગરોમાં આટલો વ્હિકલ ટેક્સગુજરાતની આ મનપામાં વ્હીકલ ટેક્સ લાગું છે અમદાવાદમાં 2થી 5 ટકા સુધી, વડોદરામાં 1.25થી 2.50 ટકા સુધી, ગાંધીનગરમાં 2થી 2.50 ટકા, રાજકોટમાં 2.5 ટકાથી 5 સુધીના ટેકસમાં 1.5થી 3 ટકા સુધી ઘટાડેલ છે. સુરતમાં 1.50થી 4 ટકા, ભાવનગરમાં 1.5થી 2 ટકા છે. જ્યારે ગાંધીનગર કોર્પોરેશનના ગેઝેટમાં 2થી 2.50 ટકા વાહન ટેક્સમાં દર્શાવેલ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:01 am

સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ:એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બેંગકોકથી સુરત આવતો હતો, સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISFની સંયુક્ત કામગીરી

સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 (સીટ 27C) દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISF દ્વારા સંયુક્ત કામગીરીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:58 am

નલિયા સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ:લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું, લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ

કચ્છનું નલિયા સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે એકલ આંક તરફ આગળ વધી રહ્યું છે. સંધ્યાકાળથી લઈને વહેલી સવાર સુધી નલિયાના રહેવાસીઓ તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લા મથક ભુજ શહેરમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જોકે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. કચ્છમાં આ વિષમ હવામાનને કારણે સીઝનલ બીમારીઓમાં વધારો જોવા મળ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં શિયાળો હવે તેના અસલ મિજાજ તરફ આગળ વધી રહ્યો છે. ઠંડીની તીવ્રતા વધતા લોકો ગરમ વસ્ત્રો પહેરતા થયા છે. ભુજ શહેરની બજારમાં ઉભી થયેલી ગરમ વસ્ત્રોની હંગામી બજારમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. આજે મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:38 am

સરદાર પટેલની 150મી જન્મ જયંતિની બોટાદમાં ઉજવણી:રીવાબા જાડેજા અને શંભુનાથ ટુંડિયાએ કર્યું સંબોધન, ભીમદાડથી ટાટમ ગામ સુધી યુનિટી માર્ચ શરૂ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા કક્ષાની પદયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે યોજાઈ. આ પદયાત્રાને કારણે બોટાદ-ગઢડા નેશનલ હાઈવે આજે સવારે 7થી બપોરના 4 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. કાર્યક્રમ અનુસંધાને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, કલેકટર, એસ પી સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, કાર્યક્રમમાં રીવાબા જાડેજા અને શંભુનાથ ટુંડિયાએ સંબોધન કર્યું હતું, આ રેલીમાં 6000થી વધુ લોકો જોડાયા છે. પદયાત્રા નેશનલ હાઈવે-૫૨ પરના 3 કિલોમીટરના ગઢડા હાઈસ્કૂલ ચાર રસ્તાથી બોટાદ સિટી સુધીના માર્ગ પરથી પસાર થશે, જેના કારણે આ માર્ગ પર ટ્રાફિક બંધ રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:38 am

અમરેલીમાં 11 મહિનામાં લોકોએ સાયબર ફ્રોડમાં 8 કરોડ ગુમાવ્યાં:1200 જેટલી ફરિયાદો મળી, પોલીસે 70 લાખની રકમ પરત અપાવી, જાણો સાયબર ફ્રોડથી બચવા શું કરશો?

આજકાલ સાયબર ફ્રોડના બનાવો સતત વધતા રહે છે. મોબાઈલ પર અજાણી લિંક પર ક્લિક કરતા જ બેંકખાતું સાફ થઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આ ઉપરાંત ફોનમાં RTOના ચલણના નામે મોકલેલી APK ફાઈલ અથવા સોશિયલ મીડિયા ગ્રુપમાં ખાસ કરીને શેરમાર્કેટમાં વધુ પ્રોફિટ કરાવવાના નામે લિંક મોકલી સાયબર ફ્રોડ કરવામાં આવે છે. પોલીસે પણ લોકોને આ બાબતે એલર્ટ રહેવા જણાવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં સાયબર ક્રાઈમની કેટલી ઘટના બની અને લોકોએ કેટલા રૂપિયા ગુમાવ્યાં તેમજ તેનાથી બચવા માટે લોકોએ કઈ બાબતની તકેદારી રાખવી તે અંગે દિવ્ય ભાસ્કરે SP સંજય ખરાત સાથે ખાસ વાતચીત કરી હતી. અમેરલી સહિત ગુજરાતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારોસમગ્ર દેશ અને ગુજરાતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. લોકો લોભ-લાલચમાં આવીને વિવિધ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, જેના કારણે લાખો-કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 11 માસ દરમિયાન નોંધાયેલા 1200 કેસમાં કુલ 8 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ફરિયાદોના આધારે, SP સંજય ખરાતે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડિટેક્ટ કરવા અને નાણાં પરત અપાવવા માટે કામગીરી શરૂ કરાવી છે. જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં ગુમાવેલી રકમના લગભગ 10 ટકા એટલે કે, 70 લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં 42 જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. સાયબર ફ્રોડમાં 1930 હેલ્પલાઈન પર કોલ કરવાની અપીલસાયબર ફ્રોડ અંગે માહિતી આપતા SP સંજય ખરાતે જણાવ્યું કે, આવા કિસ્સામાં સૌ પ્રથમ નાગરિકોએ 1930 ઉપર કોલ કરવો જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને અમુક સમય બાદ પેમેન્ટ પરત મળી શકે છે. અરજદારો રૂબરૂ મળ્યા બાદ ફરિયાદો નોંધાવે છે, તેવી 42 જેટલી ફરીયાદ પોલીસે નોંધી છે. ભૂતકાળમાં ખાંભામાં એક યુવતીએ 26 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ સુસાઈટ કર્યું હતું. કેવી રીતે તમે સાયબર ફ્રોડનો શિકાર બનો છો?વધુમાં જણાવ્યું કે, અલગ-અલગ રીતે લોકો સાથે સાયબર ફ્રોડની ઘટના બને છે, તેમા મુખ્યત્વે મોબાઈલમાં અલગ-અલગ ગ્રુપમાં જોઈન થાવ તો તેમાં ખોટા ફોટા-વીડિયો શેર કરીને તમને એવી લાલચ આપે છે કે અમને આ શેરમાં પ્રોફિટ થયું છે તેવા ફોટા બતાવીને લોકોને રોકાણ કરાવે છે. તેમજ APK ફાઈલ આવે છે તે ઓપન કરતા જ તમારા મોબાઇલની માહિતી તેઓ પાસે પહોંચી જાય છે અને ફ્રોડ થાય છે. આરટીઓ ચલણના નામે APK ફાઇલ મોકલે છે જેથી લોકો ડાઉનલોડ કરે છે અને ફ્રોડનો ભોગ બને છે. અમરેલી SP સંજય ખરાતે વધુમાં જણાવ્યું કે, સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે સાયબર પોલીસ દ્વારા દરેક વિસ્તારમાં સેમિનાર કરવામાં આવે છે. કેવી રીતે ફ્રોડ થાય છે તે અમે બતાવીએ છીએ. ક્યારેક લોકો પાસે ખોટી રીતે રોકાણ કરાવે છે, OTP માગે છે, તમારા પાસપોર્ટ નંબર અમને મળ્યો છે તમારા નામનું પાર્સલ અમને આવ્યું છે હું દિલ્હી એરપોર્ટથી બોલું છું તમને ડિજીટલ અરેસ્ટ કરવામાં આવ્યાં છે આવું કહીં લોકોને ડરાવીને આવી અલગ-અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે. સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું?સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તે અંગે જણાવ્યું કે, આપણે કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવવું જોઈએ. માર્કેટમાં સામેથી કોઈ અપીરચિત વ્યક્તિ આવે અને તમને ફાયદો કરાવવાની વાત કરે તેવી શક્યતા બોવ ઓછી છે. કોઈ કોલકતા અને દિલ્હીમાં બેસીને સોશિયલ મીડિયા દ્વારા તમને ફાયદો કરાવવાની વાત કરે છે તેવા લોકોની લાલચમાં ન આવવું જોઈએ. આ ધ્યાન રાખશો તો તમે કોઈ દિવસ સાયબર ફ્રોડના ભોગ નહિ બનો. પોલીસ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથીઆ ઉપરાંત બીજી એક રીત છે ડિજિટલ અરેસ્ટની જેમાં તેઓ તમને કહે છે કે, અમે અમદાવાદ, સુરત કે મુંબઈ એરપોર્ટ પર બેગ ચેક કરતા હતા તેમાં એક ગાંજાનું પેકેટ મળી આવ્યું છે. જે બેગમાં તમારો મોબાઈલ નંબર અને પાસપોર્ટ નંબર છે એટલે તમે આ ઘટનામાં આરોપી છો અને તમે ડિજિટલ અરેસ્ટ થયા છો જો તમે આટલા રૂપિયા આપશો તો તમને અમે આ કેસમાંથી બચાવી લેશું, ત્યારે તમારે એક વાત હંમેશા સમજી લેવી જોઈએ કે પોલીસ ક્યારેય ફોન પર ધરપકડ કરી શકતી નથી. બીજુ કે તમને ખબર છે કે તમે આવો કોઈ ગુનો કર્યો જ નથી તો તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. તમારા પરિવારના લોકો પણ આમાં ફસાયા હોય તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સોશિયલ મીડિયામાં ગમે તે લિંક પર ક્લિક કરવું, ગમે તે ગ્રુપમાં જોઈન થવું, આવું કરવાથી તમારી કેટલીક માહિતીઓ આ ફ્રોડ કરનારા પાસે પહોંચી જાય છે અને તેઓ આરામથી ફ્રોડ કરી લેતા હોય છે. કોઈને ભાડે બેંક એકાઉન્ટ ન આપવુંવધુમાં જણાવ્યું કે, આપણા વિસ્તારના ઘણા લોકો પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી રહ્યા છે. આ મહિનામાં આવા 4 કેસ સામે આવ્યાં છે. કોઈ જરૂરિયાત વગર તેમની આવક ન હોવા છતાં તેમના એકાઉન્ટમાં બહારથી પેસા આવે છે. અમે રાજુલા, બાબરા અને સાવરકુંડલામાં આવી ગેંગ પકડી છે. તમે તમારૂ એકાઉન્ટ ભાડે આપશો તો તેઓ આ એકાઉન્ટ ગુનાના કામમાં ઉપયોગ કરશે. તમારા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા તેની જાણ પોલીસને જાણ થાય ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ એકાઉન્ટ બંધ કરવામાં આવે છે જેથી છેતરપિંડી કરનારાઓને સતત નવા નવા બેંક એકાઉન્ટની જરૂર પડે છે. જેથી તેઓ આમ ભાડેથી એકાઉન્ટ લે છે. ગરીબ લોકોના રૂપિયા તમારા ખાતામાં આવે છે. ભાડેથી એકાઉન્ટ આપવું તે પણ ગુનો છે. જેથી કોઈને ભાડેથી એકાઉન્ટ ન આપવું. જિલ્લા પોલીસ દ્વારા સાયબરના કેસને લગતા કેસમાં પોલીસ દરેક નાગરિકોને સાંભળે છે અવેરનેસ કાર્યક્રમ રાખવામા આવે છે. જનજાગૃતિ માટે શાળા-કોલેજ વેપારીઓ અને સંસ્થાઓ સાથે સાયબર સેમિનાર યોજવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:33 am

સ્પાઇસજેટમાં વધુ 4 એરક્રાફ્ટનો ઉમેરો:રોજના 180 ફ્લાઇટ્સ સાથે શિયાળું સિઝનની તૈયારી; નવેમ્બરમાં નવા 15 ​​​​​​​એરક્રાફટના ઉમેરા સાથે સંખ્યા 19 થઈ

સ્પાઇસજેટે તેના ઓપરેશનલ કાફલામાં વધુ 4 એર ક્રાફ્ટનો સમાવેશ કર્યો છે. આ સાથે એરલાઈનનો કુલ કાર્યકારી કાફલો 39 એરક્રાફ્ટનો થઈ ગયો છે. આ નવા 4 એરક્રાફ્ટના ઉમેરા સાથે સ્પાઇસજેટે એક મહિનાથી વધુ સમયમાં કુલ 19 વિમાનો તેના કાફલામાં ઉમેર્યા છે. આ 19 એર ક્રાફટમાંથી 4 એર ક્રાફટ વેટ લિઝ પર લેવાયેલા છે અને એક અગાઉ ગ્રાઉન્ડ કરાયેલું બોઇંગ 737 મેક્સ વિમાન ફરીથી સેવામાં આવ્યું છે. જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર કનેક્ટિવિટીમાં વધારો કરશે. એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ વધીને 180 પર પહોંચીઆ વધારાના એરક્રાફ્ટ શિયાળુ શેડ્યૂલને મોટો વેગ આપશે, જે તહેવારોની અને રજાઓની સિઝન દરમિયાન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કરાયો છે. સપ્ટેમ્બર, 2025 સુધીમાં સ્પાઇસજેટ રોજના 100 ફ્લાઇટ્સ ઓપરેટ કરતું હતું. નવા એરક્રાફ્ટના ઉમેરા સાથે એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ હવે વધીને 180 પ્રતિ દિવસ પર પહોંચી ગઈ છે. નવેમ્બરમાં નવા 15 એરક્રાફટનો ઉમેરોઅગાઉ 6 નવેમ્બરના રોજ બજેટ એરલાઇન Spicejet એ શિયાળાની મુસાફરીની મોસમ પહેલા તેના કાફલાને વધુ મજબૂત બનાવવા માટે લીઝ પર 5 નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યો હતો. ત્યારબાદ ફરી 5 એરક્રફ્ટ લિઝ પર લીધા હતા અને હવે ફરી 4 એરક્રફ્ટ લિઝ પર લેતા આ સાથે કુલ નવા એરક્રાફટની સંખ્યા હવે 15 થઈ ગઈ હતી. ત્યારે Spicejet એ વધુ 4 એરક્રાફ્ટ ઉમેરીને કુલ 19 એરક્રાફ્ટ વધુ ઉમેર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:27 am

કડી પંથકમાં બેફામ ખનિજ ચોરી:રાજપુર ગામે મોડીરાતે ખાણ-ખનિજની ટીમ ત્રાટકી; માટી ખનન કરતાં એસ્કેલેટર મશીન, બે ડમ્પર ઝડપાયા

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ખનિજ ચોરી જતાં પરિબળોએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ખનિજ ચોરી અને માટી ખનન કરી જતાં વાહનો પકડવાની ઝુંબેશ સ્થાનિક ભૂસ્તર તંત્રએ શરૂ કરી છે. ગતરાત્રે ખનિજ અધિકારીઓએ છાપો મારીને કડી તાલુકાના રામપુર ગામે ખાણ માલિકીની જમીનમાં માટી ખોદકામ કરતાં એસ્કેલેટર મશીન અને બે ડમ્પર ગાડીને ઝડપી લઈ તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. વાહન માલિકો સામે કાર્યવાહીકડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી જમીનોમાં ગેરકાયદે માટી ખોદકામ બિન્દાસ્તપણે અનિષ્ટ તત્વો દ્વારા કરવામાં આવે છે. અનધિકૃત રીતે રેતી ચોરી, માટી ખનન, કપચી વગેરે ખનિજની બેફામ હેરાફેરી થતી હોય છે. દરમિયાનમાં ગત મોડીરાત્રિના મહેસાણા ભૂસ્તર અધિકારીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કડી તાલુકાના રામપુર ગામે ખાનગી માલિકીની જગ્યામાં માટી ખનન કરવામાં આવતું હોવાની પૂર્વબાતમીના આધારે ખાણ-ખનિજ અધિકારીઓએ ત્રાટકી હતી. અનધિકૃતરીતે માટી ખોદકામ કરતાં એક એસ્કેલેટર મશીન અને બે ડમ્પર ગાડીઓને ઝડપી લઈ કડી સ્થિત પ્લાન્ટમાં મુકી દીધાં હતા. ભૂસ્તર ટીમે બે મળી કુલ રૂ.90 લાખનો મુદ્દામાલ કબજે લઈ તેના વાહનોના માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:15 am

AMC કમિશનરે રોડ પર ઉતરી તપાસ કરી:અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધીમાં રોડના કામો પૂરા કરો, કોન્ટ્રાક્ટરો ગુણવત્તાયુક્ત રોડ બનાવે તેનું ધ્યાન રાખવું

તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના કમિશનરો અને મેયર સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરીને શહેરના તમામ રોડ રસ્તાઓને ગુણવત્તાયુક્ત બનાવવા માટેની સૂચના આપી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ રસ્તાની કામગીરીને લઈને ઝડપ દેખાડવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં જાતે નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત રોડ બનાવવા તેમજ બાકી રહેલા રોડ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટેની કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સૂચના આપી છે. મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યુંમ્યુનિસિપલ કમિશનરે દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં, એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા 30 મીટર પહોળા નવા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. હોટ મિક્સ રોડ વર્કની કામગીરી દરમિયાન કમિશનરે સેન્સર પેવરથી રોડના યોગ્ય કેમ્બરની તપાસ, હોટમિક્સ મટિરિયલનું માનક તાપમાન જળવાય છે કે નહીં તેની ચકાસણી, તેમજ અન્ય મહત્વના ટેક્નિકલ પરિબળોની સમીક્ષા કરી હતી. ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચના આપી કમિશનરે સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓને શહેરમાં ચાલતા રોડના કામો દિવસ અને રાત ચાલુ રાખવા તેમજ ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. રોડ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં તાપમાન એક વખત સેટ કર્યા બાદ આધુનિક મશીન દ્વારા કામગીરી થતી હોય છે જેથી તમામ બાબતો ઉપર નિરીક્ષણ કરીને સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો પોતાના કામો ગુણવત્તા યુક્ત કરે અને ફિલ્ડમાં રહી તેના ઉપર ધ્યાન રાખે તેવી પણ સૂચના અધિકારીઓને આપી હતી. 31 ડિસેમ્બર સુધીમાં બાકી 200 રોડ પુરા કરવા જણાવ્યુંમુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ કમિશનરે તમામ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના ઇજનેરો સાથે બેઠક કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ બાકી છે ત્યાં ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. જે પણ રોડ પર ખાડા પડ્યા છે અથવા રીસરફેસ કરવાની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક રીસરફેસ કરવા માટે જણાવ્યું હતું. 31 ડિસેમ્બર સુધીમાં બાકી 200 જેટલા રોડ પુરા કરવા માટે જણાવ્યું છે અત્યાર સુધીમાં 32 જેટલા રોડની કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં અમદાવાદ શહેરમાં 13 પ્લાન્ટ દિવસ-રાત કાર્યરત છે. એટલું જ નહીં દરરોજ સરેરાશ 6500થી 7000 મેટ્રિક ટન રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે. નવો 30 મીટરનો રોડ તૈયાર થતા એસ.જી. હાઇવે-એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશેમ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કરેલા એસજી હાઇવે પર એસપી ઓફિસની સામેથી સરદાર પટેલ રિંગ રોડ તરફ જવા માટેનો નવો 30 મીટરનો રોડ તૈયાર થતા એસ.જી. હાઇવે અને એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, તેમજ એસ.જી. હાઇવે પરનું ટ્રાફિક ભારણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે રોડ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખ, સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલા અને રોડ પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સિટી ઇજનેર પ્રણય શાહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:15 am

શેખ હસીનાને ફાંસી સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી! આખી રાત સળગતો રહ્યો દેશ, ઠેર ઠેર આગચંપી

(FILE PHOTO) Bangladesh Sheikh Hasina: પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની 'કંગારૂ કોર્ટ' દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવાયા બાદ દેશમાં હિંસા ફાટી નીકળી છે, જેના કારણે રાતભર તણાવપૂર્ણ સ્થિતિ રહી. હિંસામાં અત્યાર સુધીમાં બેનાં મોત અને ડઝનબંધ ઘાયલ થયા છે.

ગુજરાત સમાચાર 18 Nov 2025 9:56 am

ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન:અમદાવાદમાં SC/ST સમુદાયનો બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટ, દેશમાંથી 200 ઉદ્યોગપતિઓ માર્ગદર્શન આપશે

નયી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આગામી 21મી ડિસેમ્બરના રોજ બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા સમિટ એન્ટરપ્રિનિયરશિપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), ભાટ, અમદાવાદ ખાતે યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય SC/ST સમુદાયના યુવાનોને નવા ઉદ્યોગ-ધંધા શરૂ કરવા માટે પ્રેરિત કરવાનો અને સમાજને સમૃદ્ધિના સોપાનો તરફ અગ્રેસર કરવાનો છે. બીજા રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટનું આયોજનનયી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આગામી 21મી ડિસેમ્બરના રોજ બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટનું આયોજન કરાયું છે. સમગ્ર દેશમાંથી SC/ST સમુદાયના 200 સફળ ઉદ્યોગપતિઓ એક મંચ પરઆ એક્સ્પોમાં સમગ્ર દેશમાંથી SC/ST સમુદાયના 200 જેટલા સફળ ઉદ્યોગપતિઓને એક મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ પોતાની સફળ ઉદ્યોગપતિ બનવાની પથની વિગતો નવયુવાનો સમક્ષ રજૂ કરીને માર્ગદર્શક બનશે. 150 સફળ ઉદ્યોગોના સ્ટોલ/એક્સ્પોનું આયોજનઆ કાર્યક્રમ થકી ગુજરાત અને દેશભરમાંથી આવનારા નવયુવકોને પોતાનો વ્યવસાય કે ઉદ્યોગ ઉભો કરવામાં પ્રેરણાત્મક બળ પૂરું પાડશે.સમિટમાં 150 જેટલા સફળ ઉદ્યોગોના સ્ટોલ/એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન-નિદર્શન કરવામાં આવશે. આનાથી નવા ઉદ્યોગ સાહસિકોને ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટિંગ અને વેચાણ અંગે પ્રેરક બળ મળશે. નવા ઉદ્યોગ શરૂ કરવા માગતા લોકોને માર્ગદર્શન આપશેઆ સમિટ ઉદ્યોગ ધંધામાં પદાર્પણ કરવા ફ્રેન્ચાઇઝી મેળવવામાં, રો-મટીરીયલની પ્રાપ્તિ, ઉત્પાદિત માલસામાનના વેચાણની સગવડતાઓ તથા હાલના વ્યવસાયોને મૂલ્યવર્ધક ઉત્પાદન તરફ અગ્રેસર કરવામાં મદદરૂપ થશે. આ અંગે ફોરમના ડાયરેક્ટર અને SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમના પ્રમુખ રાજેશ સોલંકીએ જણાવાયું છે કે, આ અવસર સમાજના દરેક યુવાન ભાઈઓ-બહેનો તેમજ વડીલો કે જેઓ તેમના સંતાનો માટે નવો ઉદ્યોગ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે ખૂબ જ હિતાવહ રહેશે. આ સમિટમાં 1 હજારથી વધુ ઉદ્યોગપતિઓ અને 20 હજારથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 9:45 am

મકાન આપવાના બહાને છેતરપિંડી:44 લાખ લીધા બાદ દસ્તાવેજ કે બાનાખત ન કરી આપનાર બિલ્ડર સામે ફરિયાદ

અમદાવાદમાં રહેતા યુવકને બિલ્ડરે પોતાની સાઈટમાં 61 લાખ રૂપિયામાં મકાન આપવાનું નક્કી કર્યું હતું. યુવકે બિલ્ડર પર વિશ્વાસ કરીને મકાન પેઠે 44 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ પૈસા આપ્યા બાદ બિલ્ડરે મકાનનો બહાના કટકે વેચાણ દસ્તાવેજ આપ્યો નહોતો વારંવાર કહેવા છતાં દસ્તાવેજ ના કરી આપતા યુવકે બિલ્ડર વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મકાન ખરીદી પેટે બ્રિજેશે કુલ 53.50 લાખ રૂપિયા આપ્યા હતાસોલામાં રહેતા બ્રિજેશ રાવલ ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે.તેમની કંપની દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ મેળવી રોડ રસ્તા તેમજ બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન કામ કરવામાં આવે છે.બ્રિજેશભાઈનો સંપર્ક નવા વાડજ ખાતે આવેલી શ્યામ હાઇટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડર ભાવિન પોરીયા સાથે થયો હતો. 2023માં બ્રિજેશભાઈએ ભાવિન પોરિયાને મકાન ખરીદવા બાબતેની વાતચીત કરી હતી. ભાવિને બધા ખર્ચ સાથે તેની સાઈટમાં 61 લાખમાં મકાન આપવાનું નક્કી કર્યું હતું. મકાનની ખરીદી પેટે બ્રિજેશભાઈએ બેંકમાંથી અલગ અલગ આરટીજીએસ દ્વારા કુલ 53.50 લાખ રૂપિયા આપ્યા હતા. બિલ્ડરે ના દસ્તાવેજ કરી આપ્યો કે ના પૈસા પરત આપ્યાભાવિને 10 લાખ રૂપિયા ચેકથી બ્રિજેશભાઈને પરત આપ્યા હતા. મકાન પેટે ભાવિને 43.50 લાખ અને ટીડીએસના 53,000 એમ કુલ 44.03 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ બ્રિજેશભાઈએ ભાવિનને બાનાખત અને દસ્તાવેજ માટે જણાવ્યું હતું. પરંતુ ભાવિન કોઈ જવાબ આપતો ન હતો. જેથી બ્રિજેશભાઈએ મકાન માટે આપેલા પૈસા પરત માંગ્યા તે પૈસા પણ ભાવિને પરત આપ્યા ન હતા. બ્રિજેશભાઈએ ભાવિન વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 9:32 am

ખૂન-લૂંટનો 25 વર્ષથી ફરાર આરોપી નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપાયો:પોલીસથી બચવા અને છત્તીસગઢમાં સ્થાયી થવા માટે ત્યાંની યુવતી સાથે લગ્ન કરી લીધા

સુરત શહેરમાં 25 વર્ષ પહેલાં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા એક ગંભીર ખૂન અને લૂંટના ગુનામાં છેલ્લા અઢી દાયકાથી પોલીસની પકડમાંથી છટકી રહેલા આરોપીને સુરત શહેર પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચએ નક્સલ પ્રભાવિત ગણાતા છત્તીસગઢના બિલાસપુર ખાતેથી દબોચી લીધો છે. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસથી બચવા માટે જાણી જોઈને નક્સલવાદીઓની અસર ધરાવતા અંતરિયાળ વિસ્તારમાં આશ્રય લીધો હતો, જેથી બહારની પોલીસ ત્યાં પહોંચી ન શકે. પોલીસે ખરાઈ કર્યા બાદ એક ટીમ મોકલીસુરત શહેર પીસીબીના PI આર.એસ. સુવેરાને ચોક્કસ બાતમી મળી હતી કે, 2000ના ખૂન અને લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી અમરસીંગ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહા (ઉં.વ. 46), જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો રહેવાસી છે, તે હાલમાં છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં તોરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલ ખધાન નામના અંતરિયાળ ગામમાં છૂપાયેલો છે. બાતમીની ખરાઈ થયા બાદ તુરંત જ એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું અને તેને છત્તીસગઢ ખાતે રવાના કરવામાં આવી હતી. પોલીસે ગુપ્ત રીતે શોધખોળ શરૂ કરીપી.સી.બી.ની ટીમે બિલાસપુરના સંતનગર, ગ્રામ પંચાયત મહમંદ, મસ્તુરી રોડ પર આવેલા આરોપીના નિવાસસ્થાન સહિત જુદા-જુદા વિસ્તારમાં ગુપ્ત રીતે શોધખોળ આદરી હતી. આ વિસ્તાર મુખ્યત્વે તેની ભૌગોલિક સ્થિતિ અને રાજકીય સંવેદનશીલતાને કારણે પોલીસ માટે પડકારરૂપ ગણાય છે. જોકે, સુરત પી.સી.બી.ની ટીમને આરોપી અમરસીંગ ઉર્ફે ભાટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. એકલી મહિલાની હત્યા કરી દાગીના સહિતની લૂંટ કર્યાની તબૂલાતઆરોપીની પૂછપરછમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. આરોપીએ કબૂલ્યું કે, નવેમ્બર, 2000માં તેણે તેના બે મિત્ર સચીન ઉર્ફે રીંકુ બ્રમ્હપ્રકાશ વર્મા અને સુનીલ ઉર્ફે લાલુ બાબુલાલ સોની સાથે મળીને આ ગુનો કર્યો હતો. ત્રણેય મિત્રો છૂટક મજૂરીકામ કરતા હતા. સુરતના ઘોડદોડ રોડ પર આવેલા પ્રિન્સ ટાવરના નવમા માળે એક વેપારીના ફ્લેટમાં તેઓ ઇલેક્ટ્રિક-પ્લમ્બિંગના કામ અર્થે ગયા હતા. ઘરમાં વેપારીના પત્ની સિવાય કોઈ હાજર ન હોવાનો લાભ લઈને, ત્રણેય આરોપીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેમના પહેરેલા ઘરેણાં સહિત ઘરના સોનાના દાગીનાની લૂંટ કરીને વતન તરફ નાસી છૂટ્યા હતા. આરોપીએ પોલીસથી બચવા સ્થાનિક યુવતી સાથે લગ્ન કરી લીધા ગુનો કર્યા બાદ નાસી ગયેલા આરોપી અમરસીંગે ખૂબ ચાલાકીપૂર્વક પોતાનું ઠેકાણું છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બનાવવાનું નક્કી કર્યું હતું. તેનો ઇરાદો એ હતો કે આ વિસ્તારમાં બાહ્ય રાજ્યની પોલીસ સરળતાથી પહોંચી કે તેને પકડી ન શકે. જ્યારે તે અહીં આવ્યો ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. સમય જતાં, તેણે બિલાસપુરના અંતરિયાળ વિસ્તારમાં સ્થાયી થવા માટે ત્યાંની એક યુવતી સાથે લગ્ન કરી લીધા અને પોતાનું કાયમી વસવાટ બનાવી લીધો હતો. આ રીતે, 25 વર્ષ સુધી તે ખૂન અને લૂંટના ગુનામાંથી મુક્ત રહીને સામાન્ય જીવન જીવી રહ્યો હતો. 20 વર્ષના ગુનાના 21થી વધુ આરોપી પર પીસીબીનો સકંજોપી.સી.બી. દ્વારા છેલ્લા બે વર્ષમાં ખૂન, લૂંટ, ધાડ, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં 20 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા 21થી વધુ આરોપીને દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગંભીર ગુનાના આરોપીને નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 9:13 am

એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું:મોડાસાથી સારવાર અર્થે એક દિવસના બીમાર બાળકને અમદાવાદ લાવતાં અકસ્માત નડ્યો, પિતા, ડોક્ટર અને નર્સનું મોત

મોડાસા-અમદાવાદ રોડ પર વહેલી પરોઢે એક એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક નવજાત બાળક સહિત ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મોડાસા-અમદાવાદ રોડ પર રાણાસૈયદ પેટ્રોલપંપ સામે એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ભયાવહ આગમાં એમ્બ્યુલન્સમાં સવાર બાળક અને અન્ય ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 9:06 am

ચેક રિટર્ન કેસમાં પાટણ કોર્ટનો ચુકાદો:ભુજના વેપારીને ₹19 લાખ વળતર ચૂકવવાનો આદેશ, 1 વર્ષની સાદી કેદ

પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચેક રિટર્ન કેસમાં ભુજના વેપારી અઝીમાં ઇશાક સુમરા (બકાલી)ને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને ₹19 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, આરોપીએ પૂરતું ભંડોળ ન રાખીને ચેક નકારાવી ગુનો કર્યો છે. આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને જો આવા આરોપીઓ પ્રત્યે રહેમનજર રાખવામાં આવે તો કાયદાનો ડર રહેતો નથી. કેસની વિગતો અનુસાર, ફરિયાદી રમેશભાઈ પ્રજાપતિ (પાટણ) જ્યારે ભુજમાં અભ્યાસ અને નોકરી કરતા હતા, ત્યારે તેમનો આરોપી અઝીમાં ઇશાક સુમરા સાથે પરિચય થયો હતો. આરોપી ભુજમાં ઇલેક્ટ્રોનિક આઇટમની દુકાન ચલાવતો હતો. ધંધામાં પૈસાની જરૂર પડતાં, આરોપીએ ફરિયાદી પાસેથી ₹19 લાખની રકમ 15 ડિસેમ્બર, 2019ના રોજ ઉનાવા મિરાંદાતાર ખાતે એક મહિનામાં પરત આપવાના વાયદે હાથ ઉછીના લીધા હતા. એક મહિના પછી ફરિયાદીએ રકમ પરત માંગતા, આરોપીએ 27 જાન્યુઆરી, 2020નો ₹19 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પાટણની બેંક શાખામાં જમા કરાવતા તે વટાવ્યા વિના પરત ફર્યો હતો. ત્યારબાદ, ફરિયાદીએ તેમના વકીલ પીયૂષભાઈ એમ. રાઠોડ મારફત નોટિસ આપી અને પાટણની કોર્ટમાં ચેક કેસ દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળીને આરોપીને ઉપરોક્ત સજા અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે આરોપીની પારિવારિક જવાબદારીઓને પણ ધ્યાનમાં રાખીને ન્યાયનો હેતુ જળવાઈ રહે તે રીતે ચુકાદો આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:55 am

પાટણમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી પર સ્થિર:ઠંડીનો ચમકારો યથાવત્, લગ્ન સમારોહમાં ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે. મંગળવારે સવારે પણ આ જ તાપમાન નોંધાયું હતું. ઠંડીનો ચમકારો સવાર અને રાત્રિના સમયે અનુભવાઈ રહ્યો છે, જ્યારે બપોરે સામાન્ય ગરમી વર્તાય છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. આના પરિણામે ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે વહેલી પરોઢે અને સોમવારે રાત્રિના સમયે રહીશોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહેવાને કારણે વહેલી પરોઢે વાહનચાલકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. ધીમે ધીમે ઠંડી જામી રહી હોવાથી લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે. સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને કામ અર્થે નીકળેલા લોકો પણ સ્વેટર પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી હોવાથી, લગ્ન સમારોહમાં મહેમાનોને ઠંડીથી બચાવવા માટે ઇલેક્ટ્રિક સગડીઓ મૂકવામાં આવી રહી છે, જ્યાં લોકો હૂંફ મેળવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:49 am

વલસાડમાં SIR–2026 મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ:BLO 22-23 નવેમ્બરે મતદાન મથકે હાજર રહેશે

વલસાડ જિલ્લામાં Special Intensive Revision (SIR)–2026 અંતર્ગત મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 13,85,807 મતદારો પૈકી અત્યાર સુધી 1,57,568 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લાના 1359 મતદાન મથકો પર નિયુક્ત BLO (બૂથ લેવલ ઓફિસર) ને મતદારોની ડિજિટલ વિગતો એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને, 22 અને 23 નવેમ્બરના રોજ તમામ BLO સવારથી સાંજ સુધી મતદાન મથકો પર હાજર રહી મતદારોની નોંધણી, સુધારણા અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરશે. ચૂંટણી તંત્રએ મતદારોને યોગ્ય રીતે ફોર્મ ભરી, ફોટા સહિત તમામ જરૂરી વિગતો પૂરી પાડવા અનુરોધ કર્યો છે. વર્ષ 2002ની મતદાર યાદી અનુસાર ડિજિટલ નોંધણીનું આ કાર્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઝડપથી ચાલી રહ્યું છે. મતદારો 4 ડિસેમ્બર સુધી પોતાના નામમાં સુધારણા અથવા જોડણી માટે ફોર્મ ભરી શકશે. નિર્ધારિત સમયગાળા દરમિયાન અરજી ન કરનારાના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર મુજબ, અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરીએ જાહેર થશે. ચૂંટણી તંત્ર દ્વારા અગાઉ જાહેર કરાયેલા માર્ગદર્શન અનુસાર, 2024ની યાદીમાં નામ ધરાવતા મતદારોના ઘરે BLO મુલાકાત લઈ જરૂરી માહિતી ચકાસશે. જો કોઈનું નામ ગાયબ હોય, તો ઓનલાઇન ચકાસણી માટે https://voters.eci.gov.in અને https://chunavsetu-search.gujarat.gov.in પોર્ટલ ઉપયોગી થશે. જન્મ તારીખ 01-01-1988 થી 02-12-2007 વચ્ચે હોય અને સરનામું બદલાયું હોય તો એક જ પુરાવા આધારિત માહિતી માન્ય ગણાશે. જ્યારે 02-12-2007 પછી જન્મેલા મતદારો માટે માતા-પિતાના દસ્તાવેજોની જરૂર પડશે. ઓળખ માટે આધાર કાર્ડ, પાસબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજો માન્ય રહેશે. SIR–2026 કાર્યક્રમ મુજબ, ગણતરીનો સમયગાળો 01-11-2025 થી 04-12-2025 સુધી રહેશે અને 5 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે. ત્યારબાદ, 05-12-2025 થી 02-01-2026 સુધી દાવો-આપત્તિ પ્રક્રિયા ચાલશે અને 03-01-2026 થી 31-01-2026 સુધી નોટિસ તબક્કો રહેશે. અંતિમ મતદાર યાદી 05-02-2026ના રોજ જાહેર કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને વિનંતી કરી છે કે નિર્ધારિત 'ખાસ દિવસો' દરમિયાન BLO સાથે સંપર્ક કરી પોતાના મતાધિકારનું સંરક્ષણ કરે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:42 am

વઢવાણમાં યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન:લોકોએ સ્વદેશી અપનાવવા, આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના શપથ લીધા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'એકતા મંત્ર'ને જન-જન સુધી પહોંચાડવા રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું છે. આ અંતર્ગત વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ હતી. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુ શિહોરા અને જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ સહિતના મહાનુભાવો આ પદયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રા વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને નાના કેરાળાના હનુમાનજી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. આ યુનિટી માર્ચ દ્વારા 'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી'નો સંદેશ મજબૂત બન્યો હતો અને નાગરિકોએ સ્વદેશી અપનાવવા તથા આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 562 રજવાડાઓને એક કરીને 'એક ભારત'ની સ્થાપના કરી હતી, જેના કારણે તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય છે. 31 ઓક્ટોબર, 1875ના રોજ કરમસદમાં જન્મેલા સરદાર સાહેબની વર્ષ 2025માં 150મી જન્મજયંતિ છે, જેની ઉજવણી સમગ્ર ભારતમાં શતાબ્દી તરીકે થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરી છે, જેની મુલાકાત વર્ષે 50 લાખ લોકો લે છે. મકવાણાએ સરદાર સાહેબના સંદેશાઓને પણ યાદ કર્યા હતા, જેમાં 'સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો, અન્યાય સામે અવિરત લડ્યા રાખો, પણ ઘરની વાત ઘરમાં રાખો' જેવા સૂત્રોનો સમાવેશ થાય છે. મકવાણાએ એ પણ જણાવ્યું કે, વર્ષ 2025 બંકિમચંદ્ર ચટોપાધ્યાયજી દ્વારા 1875માં રચાયેલા 'વંદે માતરમ' ગીતની પણ 150મી જન્મજયંતિનું વર્ષ છે. તેમણે સૌને રાષ્ટ્ર ભાવના સાથે જોડાઈને, દરેક વ્યક્તિના હૃદયમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તેવી પ્રેરણા આ યાત્રાના માધ્યમથી મેળવવા અનુરોધ કર્યો હતો. અગ્રણી ગૌતમભાઈ ગેડીયાએ રાષ્ટ્ર એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલના અડગ મનોબળ અને ભગીરથ પ્રયત્નોનું સ્મરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજી, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:38 am

ACF શૈલેષ ખાંભલાના પિતાની કડકમાં કડક સજાની માગ:બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યાથી પરિવાર આઘાતમાં; ભારે હૈયે વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી

ભાવનગરમાં બે દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્નિ, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલષને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએઃ આરોપીના પિતા​સોશિયલ મીડિયાના માધ્યમથી બચુભાઈએ જણાવ્યું હતું કે, મારા બે ફૂલ જેવા કોમળ બાળકો, મારા પુત્રવધૂ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્ય કરીને મોતને ઘાટ ઉતાર્યા છે, એના પ્રત્યે મને તો દુઃખ છે. મારો આખો પરિવાર દુઃખી છે. મારો એક પંખીડાનો માળો વિખેરાઈ ગયો છે. ​પોલીસ તપાસમાં આ ભયંકર કૃત્ય માટે 'શૈલેષ ખાંભલા'નું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે. શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએ. આ પણ વાંચો.... શેતાન શૈલેષે તકિયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું, બીજા રૂમમાં પુત્ર-પુત્રીને પતાવી દીધાં, ભાવનગરમાં ACFના ઘરમાં શું-શું થયું?માત્ર એક આરોપી સુધી તપાસ સિમિત ન રાખવા વિનંતી​બચુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે. આ બહુ દુઃખદાયક છે. આમાં કોઈ પણ સામેલ હોય તેની ઊંડી તપાસ કરો કહી ​બચુભાઈ ખાંભલાએ માત્ર એક આરોપી સુધી તપાસ સિમિત ન રાખવાની વિનંતી કરી છે. (ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને પુત્ર-પુત્રીની લાશ મળી:10 દિવસ પહેલાં ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા) ખાંભલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું​સુરત શહેરના બચુભાઈ ભગવાનભાઈ ખાંભલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. તેમના બે ફૂલ જેવા કોમળ બાળકો અને પુત્રવધૂની અધમ હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પીડિત બચુભાઈ ખાંભલાએ ભારે હૃદય સાથે સોશિયલ મીડિયા સમક્ષ આવીને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને આ મામલે સત્વરે ન્યાય મળે તેવી માગણી કરી છે.(પત્નીના ફોનના DRAFT મેસેજથી ફોરેસ્ટ અધિકારીનો ખેલ ખૂલ્યો, સ્ટાફ પાસે JCBથી ખાડો ખોદાવ્યો, 2 ડમ્પર માટી મગાવી હતી)

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:30 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં કે.બી. પટેલ પ્રાઈમરી સ્કૂલનું ગૌરવ

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 17 ઓક્ટોબર 2025ના રોજ યોજાયેલી એસ.જી.એફ.આઈ. રાજ્ય કક્ષાની બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધામાં તાપી જિલ્લાની બે વિદ્યાર્થિનીઓએ શાનદાર સફળતા મેળવી હતી. ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કે.બી. પટેલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ ઇશિકા ચૌધરી અને જીયા ચૌધરી જિલ્લાની ટીમમાં પસંદગી પામી રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઇશિકા ચૌધરીએ 100 મીટર દોડમાં તેજસ્વી દોડ સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત 4100 મીટર રીલે દોડમાં ઇશિકા ચૌધરી અને જીયા ચૌધરી સમાવિષ્ટ ટીમે ગોલ્ડ મેડલ મેળવી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થિનીઓને ઊંચા સ્તરે રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરનારા વ્યાયામ શિક્ષકો ઊર્મિશ ચૌહાણ અને જયેશ ચૌધરી તથા આચાર્યા સેજલબેન પંચોલી સહિત શાળા પરિવારે મેડલ વિનર વિદ્યાર્થિનીઓને હર્ષભેર અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:48 am

ભાસ્કર એનાલિસીસ:68 હજાર હેક્ટરમાં 33% નુકસાન 113 કરોડની સહાય માટે ભલામણ

તાપી જિલ્લામાં થોડા દિવસો પૂર્વે થયેલા માવઠાએ ખેતીને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લાના આઠ તાલુકાઓમાં કુલ 1,01,821 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, પરંતુ સતત વરસાદ, તેજ પવન અને કમોસમી ઝાપટાંના કારણે કુલ અંદાજિત 68,744 હેક્ટર જમીનમાં ઊભેલા પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું હોવાનો સર્વે રિપોર્ટ તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંકલિત અને ઝડપી કાર્યવાહીના ભાગરૂપે કુલ 1,01,765 હેક્ટર વિસ્તારને સર્વે હેઠળ લેવામાં આવ્યો હતો. આ સર્વે માટે કુલ 518 ગામોમાં અધિકારીઓ અને કૃષિ વિભાગની 233 ટીમોએ મેદાનમાં તપાસ હાથ ધરી હતી. ગામોના દીઠ કરાયેલા આ સર્વે દરમિયાન 67,843 ખેડૂતો પાક નુકસાનથી અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, ઉકાઈ, વાલોડ અને ડોલવણમાં ડાંગર, મકાઈ, તુવેર, મગફળી, કપાસ અને શાકભાજી જેવા મુખ્ય પાકોમાં મોટાપાયે નુકસાન નોંધાયું છે. સરવેનો નિષ્કર્ષ : તાપી જિલ્લામાં કુલ 1,01,821 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું હતું. કરાયું હતું. જેમાં 1,01,765 હેક્ટર વિસ્તાર માવઠાથી પ્રભાવિત થયો હતો. આ પ્રભાવિત વિસ્તાર પૈકી 68,744 હેક્ટર વિસ્તારમાં પાકને 33%થી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પાક બગડ્યો: ખેતરોમાં પાણી ભરાતાં છોડ પીળા પડ્યા માવઠાના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે છોડ પીળા પડી ગયા. કપાસ અને તુવેર જેવા મહત્ત્વના પાકો જમીનદોસ્ત થઈ ગયા અથવા સડી ગયા. ખાસ કરીને મકાઈના પાકમાં ફૂગનો પ્રકોપ વધી ગયો અને ફૂલણ ગુમાવવાનું પ્રમાણ પણ વધ્યું જેના કારણે ઉત્પાદનને ફટકો. રાહત પેકેજ :જિલ્લાકક્ષાએ તૈયાર કરાયેલા અંદાજ મુજબ,‎પાક નુકસાન બદલ સરકારને કુલ રૂ. 11,346.33 લાખ‎(અંદાજે 113.46 કરોડ) જેટલી સહાયની ભલામણ‎મોકલવામાં આવી છે. વહીવટીતંત્રની માહિતી મુજબ,‎સરકારની મંજૂરી મળતાની સાથે જ સહાય પાક વીમાના‎માપદંડો મુજબ અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં જમા કરાશે.‎

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:41 am

ચેતજો:લગ્નની બનાવટી કંકોત્રીની એપીકે‎ફાઇલ તમારા બેન્કનું એકાઉન્ટ ખાલી કરી શકે છે‎

હાલમાં લગ્નની સિઝન આવી છે ત્યારે હેકરો ડિજિટલ માધ્યમથી છેતરપિંડી કરવા સક્રિય બન્યા છે. નવસારી પોલીસે આવા લગ્નની બનાવટી કંકોત્રીની apk લીંક ન ખોલવા અપીલ કરી છે. જો તમે WhatsApp પર લગ્નની કંકોત્રીથી આમંત્રણ પ્રાપ્ત કરો છો, તો ચેતવવું ! આજકાલ ‘વોટ્સએપ વેડિંગ સ્કેમ’નો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં લોકોના મોબાઈલમાંથી બધા ડેટા અને નાણાં ગુમાવાની ઘટના વધી રહી છે. આ બાબતે નવસારી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોકોને સચેત રહેવા અપીલ કરી છે. વોટ્સએપ ઉપર બનાવટી કંકોત્રી અંગે કેવી રીતે ફ્રોડ થાય છે. તે અંગે સાયબર એડવોકેટ ચિરાગ લાડે માહિતી આપતા જણાવ્યું કે આ ફ્રોડ બ્રાહ્ય રીતે દેખાતો નથી પરંતુ આ એક સાયબર ક્રાઇમ છે, જેમાં સાયબર હેકર વોટ્સએપ ઉપર લગ્નના આમંત્રણ સાથે વ્યક્તિના ડેટાને હેક કરી શકે છે. હેકરો દ્વારા મોકલેલી લીંકમાં જણાવ્યું હોય કે સ્નેહીજન, આપ સહપરિવાર આપનું આમંત્રણ છે. અમારી લગ્નની પાર્ટી ખાસ છે. જોવાનું ચૂકશો નહીં !’ આ સાથે, APK ફાઈલ (Android Package File) અથવા લીંક મોકલવામાં આવે છે. આ લીંક ઉપર ક્લિક કરવાથી હેકરોએ માલવેર અથવા સ્પાયવેર હોઈ શકે છે.જેથી તમારું મોબાઇલ હેકર્સના કંટ્રોલમાં આવી શકે છે અને તમારા ખાતાની માહિતી મળવા લાગે છે. કોઈવાર તમારા મોબાઈલની ગેલેરી અને કોન્ટેક્ટ ડિલીટ થઈ જાય છે. નાણાંકીય એપ્લિકેશન જેવી કે ગુગલ પે, ફોન પે, પેટીએમ અને નેટ બેંકિંગ હેક જેવી એપ્લિકેશન્સ પણ હેક થઈ શકે છે. દેશમાં થયેલા કેટલાક તાજેતરનાં કિસ્સાઓ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:31 am

વિઝાના બાબતે કરાયેલી ઠગાઈનો મામલો:વિઝા મેળવવા ખોટા લેટર આપનાર દંપતીમાં પત્નીની મુંબઇ એરપોર્ટ પરથી અટક, પતિ હજુ ફરાર

નવસારીમાં વિદેશ જવા વિઝા મેળવી આપવાના બહાને 9 જેટલા લોકો સામે ઠગાઈ કરનાર દંપતી વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે લંડન જવા માટે આવેલ 9 લોકો પાસેથી નાણાં લઈ ખોટા વિઝા આપ્યા બદલ છેતરપિંડી કરતા ટાઉન પોલીસમાં છાપરા રોડની એક શિક્ષિકાએ દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ દંપતી વિદેશ ફરાર થઈ ગયું હતું. પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી, જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરતા જ પોલીસે અટક કરી હતી અને નવસારી ટાઉન પોલીસને સોંપી હતી. આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.સેન્ટ્રલ બજાર વિદ્યાકુંજ સ્કૂલની સામે ફ્લાઇંગ ડક ઓવરસીસ નામની વિદેશ જવા માટે વિવિધ કાર્યવાહી કરવા માટે ઓફિસ ચલાવતા વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે વિદેશ જનાર સાથે લંડન જવા માટે વાત કરી હતી. જેને લઇ તેમની પાસે અડધી રકમ લીધી હતી. ત્યારબાદ દંપતી દ્વારા 9 લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર એમ્બેસીમાં જમા કરાવ્યા હતા. જોકે, તપાસમાં તમામ લેટર ખોટા નીકળતા તેમને અમેરીકા એમ્બેસી દ્વારા 10 વર્ષ માટે બેન કરાયા હતા. તપાસ કરાવતા અન્ય મુબીન પઠાણ, અંક્તિ પટેલ, ધવલ રાણા, અક્ષય આહિર, રવિન્દ્ર સંધુ મોહમદ રંગરેજ, મિતેષ આહિર, રાહુલ ગોસ્વામી અને વૈશાલીબેન પાસે કુલ રૂ. 22.76 લાખ કઢાવ્યા હતા. તેઓએ પણ ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:27 am

મંત્રી કનુભાઇને રાવ‎:નવસારી મનપાને ડી-2 કેટેગરી નહીં પણ ડી-4માં જ રાખવું જરૂરી : ક્રેડાઇ

નવસારી મહાનગરપાલિકાની કેટેગરી ડી-2માં મુકવાને લઇ બાંધકામમાં ઉભી થયેલી મુશ્કેલી અંગે હવે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇને ક્રેડાઇ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાને સરકારે ડી-2 કેટેગરીમાં મુકી છે. આ કેટેગરીમાં જે ધારાધોરણ છે તેને લઇ નવસારી શહેરમાં બાંધકામમાં મળતી કપાત સહિત કેટલીક બાબતોમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. આ મુશ્કેલીની વિપરીત અસર નવસારી શહેરના વિકાસ ઉપર પડી રહ્યાંનું બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ જણાવી રહ્યાં છે. આ બાબતે છેલ્લા 5-6 મહિનાથી ક્રેડાઇ રાજ્ય કક્ષાએ રજૂઆતનો દોર ચલાવી રહી છે. જે અંતર્ગત હવે ગુજરાત ક્રેડાઈની ટીમ D2 અને D4 કેટેગરીના કન્વિનર અને ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખ ભરતભાઇ સુખડિયા દ્વારા ગુજરાત શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી કનુભાઈ દેસાઇ જોડે રૂબરૂ મુલાકાત કરી ચર્ચા બાદ કનુભાઈ દેસાઇ દ્વારા હકારાત્મક અભિગમ રાખી અઠવાડિયમાં માગને અનુરૂપ નોટિફિકેશન બહાર પાડી પૂર્ણ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવી હોવાનું ક્રેડાઇના સૂત્રોએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:26 am

રકતદાન શિબિરનું આયોજન:વલસાડ કોસંબાના રકતદાન શિબિરમાં 92 યુનિટ બ્લડ એકત્ર

વલસાડ તાલુકાના કોસંબા ગામે રવિવારના દિવસે નિસ્વાર્થ સેવા મંડળ કોસંબા દ્વારા દર વખતના જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રકતદાન શિબિરમાં 92 યુનિટ બ્લડ એકત્ર થયુ હતું. નિ:સ્વાર્થ સેવા મંડળ અંતરનો આનંદ કોસંબા દ્વારા યોજાયેલા કેમ્પમાં રકતદાતાઓ સવારથી ઉમટી પડયાં હતાં. નિસ્વાર્થ સેવા મંડળ કોસંબા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહ્યા હતાં. રકતદાતાઓને બિરદાવામાં આવ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:22 am

બાળકોના જીવ જોખમમાં:વલસાડમાં નવી આંગણવાડીમાં બે બાળક બેઠા હતા ને છતનો પોપડો પડ્યો

વલસાડના દેરા ફળિયા વિસ્તારમાં આવેલી નવી આંગણવાડી 24 એપ્રિલ 2025ના રોજ શરૂ કરાઇ હતી.જેમાં સોમવારે બાળકો જ્યારે નાસ્તો કરતા હતા ત્યારે જે બાળકો નાસ્તો કરીને પરવારી ગયા તેમને બાજૂના રૂમમાં લઇ જવાયા હતા પણ બે બાળક નાસ્તો કરવાના બાકી હતા તેઓ આંગણવાડી વર્કર સાવિત્રીબેન સાથે બેઠા હતા ત્યારે અચાનક સ્લેબના છતનો પોપડો ખરી પડ્યો હતો. જેની પોપડીઓ નીચે બેસેલા એક બાળક ઉપર પડતાં સાવિત્રીબેને તાત્કાલિક તેને સાઇડે કરી ચેક કરતાં કોઇ મોટી ઇજા નહિ જણાતાં રાહત અનુભવી હતી.આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ડોક્ટરે આવી બાળકને તપાસ્યોપાલિકાના ઇજનેર હિતેશ પટેલને જાણ કરાતા વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલના ડો.રોહન પટેલ સાથે આંગણવાડી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ડોકટરે બાળકને ચેક કરતાં કંઇ ગંભીર ન હોવાનું અને હોસ્પિટલ કે દવાખાને લઇ જવાની જરૂરત ન હોવાનું જણાવ્યુ હતું. માથા ભાગે પોપડી લાગી હતી.> સુમિત્રાબેન પટેલ, આંગણવાડી વર્કર

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:20 am

અધિકારીઓ દ્વારા સ્થિતિનો તાગ લેવાયો:વલસાડમાં રિસર્ફેસિંગ કામોનું નિરીક્ષણ

વલસાડ પાલિકાને ચોમાસામાં નીચાણવાળા સહિતના રસ્તાઓના રિસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા એક કરોડની ગ્રાન્ટના કામોમાં વિલંબ બાદ કામો શરૂ કરાતા પ્રાદેશિક કમિશનર અને તેમની સાથે કાર્યપાલક ઇજનેર સહિતની ટીમે વલસાડમાં સોમવારે ધામો નાંખી કામગીરી અને વિવિધ સ્થળોએ અન્ય રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને વધુ કામો માટે ખૂટતી ગ્રાન્ટની દરખાસ્ત થતાં અધિકારીઓ અત્રે સ્થિતિ જાણવા માટે આવી પહોંચ્યા હતા. વલસાડમાં કમોસમી વરસાદના કારણે ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે સરકારે ફાળ‌વેલી ગ્રાન્ટ હેઠળના કામો અટકી પડ્યા હતા.જેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે વલસાડ શહેરના સ્ટેશન રોડ,તડકેશ્વર રોડ,અબ્રામા રોડ,હાલર રોડ સહિતના મુખ્ય માર્ગો પણ ઠેર ઠેર ખરાબ થઇ જતાં પાલિકાને વધુ ગ્રાન્ટની આવશ્યકતા સામે આવી છે. જેને લઇ નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ધાનૈયા,પાલિકા પ્રમુખ માલતી ટંડેલ અને કારોબારી ચેરમેન આશિષ દેસાઇ સહિત મુખ્ય હોદ્દેદારો સાથે રસ્તા અંગેના પરામર્શ બાદ રાજ્ય સરકાર સમક્ષ વધુ ગ્રાન્ટની દરખાસ્ત મોકલી દેવામાં આવતાં હાલે રિસર્ફેસિંગની કામગીરી અને અન્ય માર્ગોની સ્થિતિનો તાગ લેવા સુરત વિભાગ મ્યુનિસિપાલિટી પ્રાદેશિક કમિશનર એસ.વી.વસાવા અને કાર્યપાલક ઇજનેર અંજુસિંહ ચૌહાણે રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુદ્દે સીઓ કોમલ ધાનૈયા ચીફ ઇજનેર નગમા મોદી,સિટી ઇજનેર હિતેશ પટેલ પણ સાથે ચર્ચા થઈ હતા.નિરીક્ષણ બાદ નગરપાલિકાની હાલની કામગીરી પ્રત્યે પ્રાદેશિક કમિશનરે સંતોષ વ્યક્ત કર્યો હતો. ડ્રેેનેજ ચેમ્બરોના લેવલની સૂચનાપ્રાદેશિક કમિશનરે પાલિકાના ઇજનેરોને વલસાડમાં નવા રસ્તા બનાવવામાં આવે તે પહેલા ડ્રેનેજ લાઇનના જે ચેમ્બરો ઉંચાઇએ છે તેનું રોડ સાથે લેવલિંગ કરવાની સૂચના આપી છે. કમિશનર વસાવા અને કાર્યપાલક ઇજનેર અંજુસિંહે મુખ્યમાર્ગ સ્ટેશન રોડ પર સફેદ પટ્ટાની લાઇનદોરી કરવા જણાવ્યું છે.જૂની લાઇનદોરી ઘસારાથી નાબૂદ થઇ જતાં અધિકારીઓએ આ કામગીરી પર ભાર મૂક્યો હતો.> હિતોશ પટેલ, સિટી ઇજનેર,નગરપાલિકા

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:19 am

સીએમને રાવ:સોલધરામાં ગેરકાયદે બાંધકામનો‎મુદ્દો હવે સીએમના દરબારમાં પહોંચ્યો‎

ચીખલી તાલુકાના સોલધરા ગામે ચીખલી-ખેરગામ માર્ગ પાસે ગેરકાયદેસર બાંધકામ બાબતે મામલતદાર અને માર્ગ મકાન દ્વારા એકબીજાને ખો આપી સરકારી તંત્ર દ્વારા જ સરકારી જગ્યા ખુલ્લી કરવામાં રસ ન દાખવતા જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચીખલી-ખેરગામ માર્ગ પર સોલધરા ગામમાં રેસિડેન્સીના નામે વાણિજ્ય હેતુનું બાંધકામ થયું છે. જેમાં માર્ગ મકાનના ચીખલી સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મધ્યબિંદુથી પ્લોટ-એ માં 22 મીટર દૂર અને બી મા 20મીટર દૂર બાંધકામ કરવાનું ધ્યાન પર આવ્યું છે, જે મંજૂરી આપેલ બાંધકામ કેટ 2થી 4 મીટર આગળ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે માલિકને માર્ચ-2024માં લેખિત નોટિસ દ્વારા જણાવાયું હતું. સોલધરામાં આ ગેરકાયદે દબાણ સંદર્ભે જાગૃત નાગરિકની માર્ગ મકાન અને મામલતદારમાં લેખિત રજૂઆત બાદ પણ કોઈ નક્કર પરિણામલક્ષી કામગીરી ન કરાતા હવે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. મુખ્યમંત્રી કરેલ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મામલતદાર કચેરીમાં દબાણ દૂર કરવાની અમારી રજૂઆતને બીજા પાટે લઈ જઇ સોલધરાના આ બ્લોક નંબરનો સિટી સર્વેમાં સમાવેશ થયો હોય શરતભંગ અંગેની કાર્યવાહી સીટી સર્વે દ્વારા કરવાની રહે છે તેવો જવાબ આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાનો પ્રયાસ કરાયો હતો. હકીકતમાં શરતભંગ રજૂઆત જ ન હતી. રજૂઆત સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની હતી પરંતુ સમગ્ર બાબતને મામલતદાર કચેરી દ્વારા આડે પાટે ચઢાવી સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાતા માર્ગ મકાન અને મામલતદાર કચેરી જેવા સરકારી તંત્રને સરકારી જગ્યા ખુલ્લી કરાવામાં રસ જ ન હોય તેમ લાગે છે. આ રેસિડેન્સીના બાંધકામ બાબતે સોલધરા ગામની મુલાકાત દરમિયાન સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરાઈ હતી. જેમાં ડીએલઆર દ્વારા માપણી કરાવાની પણ વાત થઈ હતી પરંતુ ડીએલઆર કચેરી દ્વારા પણ આજદિન સુધી માપણી કરી કોઈ અહેવાલ અપાયો નથી. આમ મામલતદાર, માર્ગ મકાન અને ડીએલઆર જેવી સરકારી કચેરીઓને સરકારી જગ્યા પરંતુ દબાણ દૂર કરાવી જગ્યા ખુલ્લી કરાવામાં રસ જ ન હોય તેવામાં જાગૃત નાગરિકની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત બાદ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:15 am

રજૂઆત આખરે ફળી‎:વાંસદા નગરના 7 કિ.મી. અંતરના રસ્તાનું નવિનીકરણનો પ્રારંભ કરાયો

વાંસદા નગરના ખખડધજ રસ્તાને લઈ ગ્રામજનોની વારંવાર રજૂઆતો ધ્યાનમાં લઈ સરપંચ સહિત ડેપ્યુટી સરપંચ અને સભ્યોની અથાક મહેનત બાદ વાંસદા ઈતિહાસમાં પહેલીવાર રૂ. 396 લાખના ખર્ચે અંદાજિત 7 કિલોમીટર રસ્તાના નવિનીકરણની કામગીરી શરૂ થતા નગરજનોમાં ખુશી ફેલાઇ છે. વાંસદા નગરના રસ્તાઓ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ બનતા ગ્રામજનોએ રજૂઆતો કરી હતી. ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં લઈ પંચાયત સરપંચ ગુલાબ પટેલ અને ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા તથા સભ્યોના અથાક પ્રયાસોથી વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા રાજ્ય સરકારની એમએમજીએસવાય 7 વર્ષ રીસરફેસીંગ વર્ષ- 2024-25 યોજના હેઠળ વાંસદા ટાઉન રોડ કુલ 6.90 કિમી રસ્તાના નવિનીકરણ માટે રૂ. 396 લાખ મંજૂર થયા છે. જેમાં વાંસદા નગરનો મુખ્ય રસ્તો તથા આંતરિક રસ્તાનો સમાવેશ થાય છે. રસ્તાની કામગીરીમાં વાંસદા ટાઉનના 7 મી, 5.5 મી અને 3.75 મી. પહોળા રસ્તાની કામગીરી કરાશે. ચોમાસુ પૂર્ણ થયા બાદ રસ્તાના નવિનીકરણની કામગીરી શરૂ કરાઇ છે.રીસર્ફેસિંગની કામગીરીનો મુખ્ય હેતુ રોડ પરના ખાડાઓ દૂર કરવા અને નાગરિકોને સલામત, સરળ અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાનો છે અને અંતરિયાળ વિસ્તારના લોકોને વાંસદામાં કચેરીના કામ કાજ તથા વ્યવસાય માટે આવવામાં ખૂબ જ સરળતા રહેશે અને આ રસ્તો બનવાથી વાંસદા ટાઉનની કનેક્ટિવિટી સુધરશે. જેને ધ્યાન રાખી સોમવારે વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલ, ડે.સરપંચ હેમાબેન શર્મા, ગ્રા.પં. સભ્યો સહિત ગામના આગેવાનોની હાજરીમાં શ્રીફળ વધેરી રસ્તાની કામગીરી શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:12 am

રસ્તા ઉપર પડ્યા જીવલેણ ખાડા:થાલા-આલીપોરમાં હાઇવેના સર્વિસ રોડ પરના ખાડા જીવલેણ બની શકે

ચીખલી નજીકના થાલા-આલીપોરમાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરના જીવલેણ ખાડાઓ પુરવામાં વરસાદની વિદાય બાદ પણ હાઇવે ઓથોરિટીને ફુરસદ મળી નથી. વાહન ચાલકોએ જીવના જોખમે સર્વિસ રોડ પરથી પસાર થવાની નોબત આવી છે. વાહન ચાલકો પાસેથી વર્ષ દહાડે લાખો રૂપિયાનો તગડો ટોલટેક્ષ ઉઘરાવતી હાઇવે ઓથોરિટીને લોકોની સલામતીની કોઈ પડેલી જ ન હોય તેમ વરસાદની વિદાયના લાંબા સમય બાદ પણ હાઇવેના સર્વિસ રોડ પરના ખાડાઓ પુરવાની ફુરસદ જ મળી નથી. સર્વિસ રોડ પર થાલા અને આલીપોર ગામની સીમમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખાડા પડવા સાથે સર્વિસ રોડના ચીંથરેહાલ થઈ ગયા હતા અને ઘણી જગ્યાએ તો માર્ગની સપાટી બેસી જવા સાથે માર્ગનું અસ્તિત્વ જ મટી ગયું છે. થાલામાં હાઇવે ના સર્વિસ રોડ પર ચોમાસામાં ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓની હાઇવે ઓથોરિટી દ્વારા નક્કર મરામત જ કરાઈ ન હતી અને દિવસે દિવસે ખાડાઓની ઊંડાઈ અને પહોળાઈ વધતી જ જતા હાલ આ ખાડાઓ એટલા મોટા થઈ ગયા છે કે કોઈ વાહન ચાલક આ ખાડામાં પટકાઈ તો જીવલેણ પુરવાર થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાઇવેનો સર્વિસ રોડ ખાસ કરીને સ્થાનિક લોકો માટે ખૂબ ઉપયોગી હોવા સાથે આ સર્વિસ રોડ પરથી વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. ઘણીવાર હાઇવે પર મરામતની કામગીરી કે નાના-મોટા અકસ્માતના કિસ્સામાં ભારે વાહનો પણ સર્વિસ રોડ પર ડાયવર્ટ થતા હોય છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા ગંભીરતા દાખવી સર્વિસ રોડ પરના ખાડાઓ પૂરી મરામતની નક્કર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:10 am

પ્રજાજન પરેશાન:કુદરતી પાણી નિકાલની કાંસને‎ મનપાએ ગટર બનાવી દીધી‎

નવસારી કૃષિ યુનિવર્સિટીની પાણી નિકાલની કાંસમાં મનપા દ્વારા આજુબાજુ આવેલ સોસાયટીની ગટર લાઇન સાથે જોડી દેતા કુદરતી કાંસને ગટર બનાવી દેતા નજીકમાં આવેલ સારથી રેસિડેન્સી અને સ્થાનિકો દુર્ગંધયુક્ત વાતાવરણમાં જીવી રહ્યાં છે. જેને માટે કલેક્ટરમાં પણ ફરિયાદ કરી હોવાની માહિતી મળી છે. જલાલપોરથી બોદાલી માર્ગ પર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતરના પાણી નિકાલ માટે કુદરતી કાંસ બનાવામાં આવી હતી. આ કાંસને મનપા દ્વારા ગટર લાઇન બનાવી દઈ આજુબાજુના સોસાયટીનું ગંદુ પાણીનું જોડાણ આ કાંસમાં આપી દેતા કેટલીક કંપનીઓના કેમિકલયુક્ત પાણી દુર્ગંધ મારી રહ્યું છે, જેના કારણે સાંજે સોસાયટીની બહાર ઉભું રહી શકાતું ન હોવાની ફરિયાદ કરી છતાં પૂર્વ નગરસેવકો પણ ફરિયાદનું નિરાકરણ લાવ્યા ન હતા. મનપાની એપમાં સોલ્વ લખાઇ ગયુંસ્થાનિક રહીશોએ જણાવ્યું કે 6 વર્ષથી ફરિયાદ કરે છે. નગરસેવકો, ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી અંતે મહાનગરપાલિકાની એપ્લિકેશન પર પણ ઘણીવાર ફરિયાદ કરી પણ સમસ્યાનું કોઈ પણ જાતનું નિવારણ વગર સોલ્વ લખી દીધું છે. ક્લેક્ટર સમક્ષ જિલ્લા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:06 am

મુસાફરો પરેશાન:વેડછા સ્ટેશને ટ્રેનનું એન્જિન ફેલ, મુસાફરોનો બે કલાક રઝળપાટ

પશ્ચિમ રેલવેમાં નંદુરબારથી બોરીવલી જતી પેસેન્જર ટ્રેન નવસારીથી વેડછા પાસે આવતા અચાનક ટ્રેનનું એન્જિન ફેલ થતા સાંજે 8.30 વાગ્યા બાદ ત્યાંથી ઉપડી નહીં જેને લઇ મુસાફરો હેરાન થયા હતા. પશ્ચિમ રેલવેના વલસાડ ડિવિઝનમાં જાણ કરાતા મોડી સાંજે બીજું રેલવે એન્જિન મોકલવાની માહિતી મળી છે. નવસારી રેલવે સ્ટેશન પછી આવેલા વેડછા રેલવે સ્ટેશનમાં નંદુરબારથી બોરીવલી પેસેન્જર ટ્રેન પસાર થતા અચાનક ઉભી રહી હતી મુસાફરો ટ્રેન કેમ ન ઉપડી તે બાબતે પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ટ્રેનનું એન્જિન ફેલ થતા ટ્રેન ઊભી રહી હોવાની માહિતી મળી છે. સાંજે 8.30 કલાક બાદ ટ્રેન આગળ વધી ન હતી. જેને લઇ મુસાફરો અકળાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:05 am

BLOને મદદ કરવાનું ફરમાન કાઢતા આંગણવાડી વર્કરોને નારાજગી‎:નવસારીમાં SIRની કામગીરીમાં હવે આંગણવાડી વર્કરોને જોડવાનો આદેશ

નવસારી જિલ્લામાં આંગણવાડી વર્કરોને હવે બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરીમાં જોડવાનો એક આદેશ જાહેર થતાં જ વર્કરોમાં તીવ્ર નારાજગી ફેલાઈ છે. સામાન્ય રીતે આંગણવાડી વર્કરોનું મુખ્ય કાર્ય પોષણ, આરોગ્ય અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ સંબંધિત સેવાઓ આપવાનું હોય છે. જોકે, સરકારી કામગીરીના ભાગરૂપે તેમને બીએલઓના મુખ્ય કાર્ય એટલે કે મતદાર યાદી સુધારણા, નવા મતદારોની નોંધણી અને ઘરે-ઘરે જઈને ચકાસણીની કામગીરીમાં મદદરૂપ થવાનું ફરમાન કરાયું છે. વર્કરોના સંગઠનોનું કહેવું છે કે, આંગણવાડીનું નિયમિત કાર્યબોજ પહેલેથી જ ઘણો વધારે છે અને તેમાં હવે ચૂંટણી સંબંધિત આ વધારાનો બોજ ઉમેરવામાં આવ્યો છે. જેના કારણે બાળકો અને સગર્ભા માતાઓની મૂળભૂત સેવા પર અસર થશે. આંગણવાડી વર્કરોએ આ ફરમાન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં પણ બીએલઓની કામગીરીને લઇને છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ઢીલી નીતિથી કામ ચાલી રહ્યું છે. તેના સંદર્ભમાં સમય મર્યાદામાં સરની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થયા છે. મતદારોમાં જાગૃતતાના અભાવે ઘણી ગુચવણો ઉભી થઇ રહી છે. આ ઉપરાંત પરિવારના સભ્યોના મતદાર ઓળખપત્રને લઇને પણ મતદારોમાં ભારે વીડબણા વ્યાપી ગઇ છે. હજી પણ કેટલાય લોકોને ખબર જ નથી કે આ બધી વિગતો ક્યાંથી મળશે અને કોણ આપશે? જાગૃતિના અભાવે લોકો અટવાઇ રહ્યાં છે. જેથી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે અગાઉ થયેલ કામગીરીને ધ્યાનમાં રાખી સરકારે હવે અન્ય કર્મચારીઓને પણ બીએલઓને મદદરૂપ થવા માટે કામગીરી સોંપી છે. જેને લઇ કામગીરી ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે પરંતુ આ બાબતને લઇને કેટલાય કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અને તેઓ આ કામગીરીથી અળગા રહેવા માંગે છે. તેઓ પોતાની પાસે વધારે કામગીરીનો બોજ વધારવામાં આવ્યો છે તેથી નારાજ છે. અને તેમને દૂર રાખવા અનુરોધ કરાયો છે. સરકારે રજૂઆત ધ્યાને ન લીધીચૂંટણીલક્ષી કામગીરી કેમ ન કરવી તે અંગે વારંવાર રજૂઆત કરી હતી. ગુજરાત આંગણવાડી વર્કરો દ્વારા અગાઉ બીએલઓની ચૂંટણી કામગીરી ન કરવા માટે ફરજ મુક્તિ માટે રજૂઆત કરી હતી. જેમાં આંગણવાડી વર્કરોને સરકારી નોકરિયાત ગણવામાં આવતા નથી, માત્ર માનદ સેવક અને માનદ વેતન આપવામાં આવે છે. કુપોષણ, આરોગ્ય, સુવાવડી માતાઓ અને કિશોરીઓ માટે મહત્વપૂર્ણ કામ કરવાનું હોય છે. સરકારી અધિકારીઓ સતત મોનિટરિંગ કરતા હોય છે, બહેનો ઓછું ભણેલી હોય અને અંગ્રેજી પણ જાણતી ન હોય ચૂંટણીમાં કામ કરવા જતા હોય માફી આપવા રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:04 am

ટ્રાફિકજામની સમસ્યા વકરી:નવસારી બ્રિજ પર 1.3 કિ.મી.ના ચકરાવાને‎લઇ જૂના અંડરબ્રિજ પર ભારણથી ટ્રાફિકજામ‎

ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારીના રેલવે ફાટક બંધ થયા બાદ પૂર્વથી પશ્ચિમ જવા એક ઓવરબ્રિજ, બે-બે અંડરબ્રિજ હોવા છતાં નિયમનના અભાવે રોજ એક અંડરબ્રિજ અને પૂર્વના સર્વિસ રોડ પર ટ્રાફિકજામ થવા સાથે હજારો લોકો હેરાન થઈ રહ્યા છે. નવસારીમાં દોઢ બે વર્ષ અગાઉ પૂર્વથી પશ્ચિમ તરફ જવા રેલવે ફાટક તો હતી, સાથે પ્રકાશ ટોકીઝ સામે અંડરબ્રિજ હતો જ્યાંથી વાહનચાલકો સરળતાથી અવરજવર કરતા હતા. ખાસ કરીને પૂર્વ બાજુએ રોડ પહોળો હોય મુશ્કેલી પડતી ન હતી. જોકે દોઢ બે વર્ષ અગાઉ ફાટક બંધ કરાઈ અને ઓવરબ્રિજ ધમધમતો થયો ત્યારથી સ્થિતિ બદલાઈ છે. ઓવરબ્રિજમાં પૂર્વથી પશ્ચિમ જવા સવા કિમીનો ચકરાવો હોય ખૂબ ઓછા વાહનો ઉપયોગ કરે છે. બીજું કે પ્રકાશ ટોકીઝ સામેના અંડરબ્રિજ ઉપરાંત વધુ એક અંડરબ્રિજ ઉત્તર બાજુ બનાવ્યો પણ તેનો ઉપયોગ પણ વધુ થતો નથી. આ સ્થિતિમાં મહત્તમ ભારણ પ્રકાશ ટોકીઝ સામેના અંડરબ્રિજમાં રહે છે. એથીય કપરી સ્થિતિ એ છે કે પશ્ચિમ બાજુ તો બ્રિજના એક નહી બે બે સર્વિસ રોડ છે પણ પૂર્વ બાજુ માત્ર એક સર્વિસ રોડ છે અને તે પણ ખૂબ સાંકળો છે,જેને લઈ દિવસ દરમિયાન આ સર્વિસ રોડ પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે. અહીં મોટી સંખ્યામાં ઢોરની અવરજવર વળી સ્થિતિ વધુ વકરાવી છે. રાકેશભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે રોજ આવાગમન કરનારા માટે બ્રિજ પરથી પસાર થવું મુશ્કેલ હોવાથી અંડરબ્રિજનો જ લોકો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી મુશ્કેલી વધી છે. નજીકના સમયમાં સમસ્યા ઉકેલાશે.. રેલવે ટ્રેકની પૂર્વ બાજુએ જે ટ્રાફિક સમસ્યા છે, તે બાબતે રિવ્યૂ થયો છે, પ્લાનિંગ પણ તે ઉકેલવા થઈ ગયું છે અને નજીકના દિવસોમાં આ સમસ્યા ઉકેલવા પગલા લેવામાં આવશે. > દેવ ચૌધરી, કમિશનર, મનપા, નવસારી રોડ પહોળો કરવા લાઇનદોરીનો હજુ અમલ નહીં નવસારીમાં અગાઉ પાલિકા હતી ત્યારે રોડ પહોળા કરવા ચીફ ઓફિસર પાસે વધુ વિકલ્પ ન હતા પણ મહાપાલિકાએ શહેરમાં રોડ પહોળો કરવા અનેક વિસ્તારમાં લાઈનદોરી મૂકવાની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે,જેમાં આ પૂર્વ બાજુના પ્રકાશ ટોકીઝ નજીકના સાંકળા 5.25 મીટરના રોડને 7.50 મીટરનો કરવાની નેમ વ્યક્ત કરાઇ છે. નોટિસ મે મહિનામાં જારી થઈ હતી પણ અમલ થયો નથી. ફૂટ બ્રિજ ન‎હોવાથી પણ‎ભારણ વધ્યું‎નવસારીમાં અગાઉ રેલવે ફાટક હતી ત્યારે પૂર્વથી પશ્ચિમ પગપાળા જનારા લોકો ફાટકનો જ ઉપયોગ મોટેભાગે કરતા હતા. જો કે ફાટક બંધ થયા બાદ પગપાળા જનારા માટે વિકલ્પ વધુ રહ્યાં નથી. પગપાળા જનારા પણ પૂર્વના સર્વિસ રોડ થઇ અંડરબ્રિજ થઇ એકથી બીજી તરફ જઇ રહ્યાં છે જેના કારણે પણ અંડરબ્રિજ અને પૂર્વના સર્વિસ રોડ પર ભારણ વધ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:03 am

બાળકની સિધ્ધિને વર્લ્ડવાઇડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન:9 વર્ષના દિવીતે 5.08 મિનિટમાં 610 આંકડાના સરવાળા કર્યા

નવસારીના સૂપા ગામની સુરત પરણેલી યુવતીના 9 વર્ષીય દીકરાએ માત્ર 5.08 મિનિટમાં એક પછી એક 610 આંકડાઓનો સરવાળો કરી બતાવી મેન્ટલ મેથ્સ ગણિતમાં સિદ્ધિ મેળવી,જેને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકર્ડ એ માન્ય કરી છે. નવસારીના સૂપા (ગુરુકુળ) ગામની યુવતી વૃંદાબેન દેસાઇના લગ્ન સુરત થયા, જેમને 9 વર્ષીય દીકરો છે. અડાજણ સ્વામિનારાયણ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો દીકરો દિવીત જેનીલ દેસાઈ અભ્યાસમાં ટોપર તો છે પણ મેન્ટલ મેથ્સમાં કાઠુ કાઢ્યું છે. મળતી માહિતી મુજબ માસ્ટર દિવીતે માત્ર અડધી સેકન્ડના અંતરે એક પછી એક દેખાતા 610 એક અંકના નંબરનો ઉમેરો 5 મિનિટ 8 સેકન્ડમાં જ પોતાના મનથી પૂર્ણ કર્યો હતો. તેણે આ માટે કોઈ પેન, કેલ્ક્યુલેટર, પેન્સિલનો પણ ઉપયોગ કર્યો નહીં અને મગજથી જ ગણિતના આંક ગણી બતાવ્યા હતા. આ સિદ્ધિ માટે ટાઇમ સ્પીડ એકાગ્રતા ખૂબ જરૂરી હતી. આ સિદ્ધિના રેકર્ડના દાવાને વર્લ્ડ વાઇડ બુક રેકર્ડે માન્ય કરી સર્ટિફિકેટ પણ આપ્યું છે. દિવીતે આ સિદ્ધિ દીપેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ મેળવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:02 am

સ્નેહ મિલનનું આયોજન:સોની મહાજન દ્વારા સ્નેહ મિલન, સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

કરછ ગિરનારા પરજીયા સોની સમાજ સોની મહાજન સંગઠન દ્વારા સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશની આરતી બાદ પ્રમુખ યોગેશકુમાર સોની, અતિથિ વિશેષ ત્રિકમદાશજી મહારાજ(સચ્ચિદાનંદ સંપ્રદાય ગાદીપતિ) એ સમસ્ત સોની સમાજને આશિર્વચન સહ નૂતન વર્ષની શુભેરછા પાઠવી, શિલ્પાબેન કિંજલભાઇ બુધભટ્ટી(ઉપપ્રમુખ, અંજાર નગરપાલીકા), પરષોત્તમભાઇ સોની, કિંજલભાઈ બુદ્ધભટી,મીરાબેન સોની, કિરણભાઇ સોની અને રાજુભાઈ ટાંકને સંસ્થાએ સન્માન કર્યુ હતું. ઉપપ્રમુખ નરેશભાઈ સોની, મંત્રી રાજેશભાઈ સોની, સહમંત્રી જગદીશભાઈ સોની, ખજાનચી અનિલભાઈ સોની, સલાહકાર પ્રવીણભાઈ સોની, કિર્તીભાઇ સોની , નરેશભાઈ રામજીભાઈ સોની અને દિલીપભાઈ સોની સહ સામાજિક આગેવાનોએ વિદ્યાર્થીઓ પ્રોત્સાહન ઈનામો અને સ્મૃતિચિહ્નનોથી સન્માનિત કર્યા હતા. યોગેશકુમાર સોની અને પારૂલ સોની એડવોકેટની સમાજ સેવાઓ બિરદાવી સન્માનિત કર્યા હતા. ગુજરાતી પરંપરા રાસગરબાની રમઝટ બોલાવી હતી. નારી શક્તિ ગૃપ સંગઠન મહિલા પ્રમુખ એડવોકેટ પારૂલબેન સોની, દીપા સોની, રેખાબેન સોની, પ્રભાબેન સોની,અમિતા નાંઢા,જ્યોત્સનાબેન સોની, પ્રવિણાબેન સોનીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની વ્યવસ્થા પૃથ્વી સોની, યોગેશ શશિકાંતભાઈ સોની ,યાજ્ઞિક સોની, શ્રીયંશ સોની, ગૌતમ સોની, વિવેક સોની એ સંભાળી હતી, તેમ એકલવ્ય પ્રતાપભાઈ સોનીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:35 am

ભુજમાં મુસ્લિમ સમાજની જનસભા યોજાઈ:મુસ્લિમ સમાજમાં માળખાકીય સુવિધા, બંધારણીય અધિકારો, સામાજિક સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા

ભુજમાં ઝિલઈ જમિયત એહલે હદીસ કચ્છના અમીર મૌલાના યુનુસ જામઈની અનુમતિ અને તેમની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરાયું હતું. શરૂઆત હાફિઝ અબ્દુલ અઝીઝ સુલેમાનની તિલાવત તથા યાસિર ઈસા નોડે અને અબ્દુલ હકીમ સમાની નાતથી કરાઈ હતી. જેમાં જમાતે એહલે હદીશ હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિના પ્રમુખ બનવા માટે કુલ 8 લોકોના નામ આવ્યા હતા. જેમાંથી એક નામ નક્કી કરવાની જવાબદારી જમીયતના અમીરભાઈને સર્વાનુમતે સોંપવામાં આવી હતી સાથે કચ્છ જિલ્લામાં જમાતના કુલ 9 ઝોનના અમીરોના મંતવ્યો પણ લેવાયા હતા. તમામ ઝોન અને જિલ્લા જમીયતના તમામ તાલુકાના હોદ્દેદારોની સર્વ સહમતી બાદ અમીરભાઈ દ્વારા હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે કચ્છના પીઠ આગેવાન હાજી વહાબ ભચું મમણ ઉપર મોહર મારી હતી હજારોની સંખ્યામાં લોકોએ હાથ ઉંચો કરીને સહમતી આપી હતી. કાર્યક્રમ અધ્યક્ષ મોલાના યુનુસ જામઈ (અમીર)એ જણાવાયું હતું કે સમિતિ બધા ધર્મ અને જમાતો પંથોને સાથે લઈને ચાલશે. મોહસિન એ. હિંગોરજા એ વકફ અને SIR મુદ્દે જાગૃત થવા અપીલ કરી હતી. મૌલાના સુલેમાન મોહમ્મદીએ પડોશી રિસ્તેદારના હકો નિભાવા પર ભાર મૂક્યો હતો. ડો.તૌસીફ ઉમર સમાએ શિક્ષણ વિશે જાગૃત થવા હાકલ કરી હતી. અન્ય વક્તામાં અબ્દુલ ખાલિક મોહમ્મદી, મૌલાના બિલાલ જામઈ, મૌલાના ઈલયાસ સલફી, ગની હાજી જુસબ સમા, મહમદ એ. લાખા, મૌલાના હનીફ સલફી, ઉમર શેરમામદ સમાએ પણ શિક્ષણની બુનિયાદી સુંદીબાઓ પર વાતો કરી હતી. જ્યારે અતિથિ વિશેષ તરીકે હાજી ઝકરીયા જત, હાજી રાહેબ સુમરા, નિમરા ભાઈ સુમરા, હાજી અલાના હાજી હસન, રશીદ આમદ સમા, તૈયબ ઈભરામ સમા, રાશિદ ભાઈ મુન્દ્રા, વૈયલ ભાઈ નોડે, મુસા ભાઈ રાયસી, હાજી હાસમ નોડે, અમીર ફૈસલ મુતવા, ઈસા હાજી હુસેન મુતવા વગેરે મંચસ્થ રહ્યા હતા. જમીયત એહલે હદીસ હિત રક્ષક સમિતિ નામના સંગઠનની સર્વાનુમતે સ્થાપના કરાઈ હતી. જમિયત એહલે હદીસના પ્રથમવાર ઐતિહાસિક ઉદ્દેશ્ય સાથે એક વિશાળ જનસભાનું આયોજન જમીયતના અમીરની અધ્યક્ષતામાં કરાયું હતું. જેનો ઉદ્દેશ્ય સમાજમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત સમાજના આગેવાનો, શૈક્ષણિક, આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સામાજિક કાર્યકરો, અને સમાજના તમામ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, બંધારણીય અધિકારો, સામાજિક સુરક્ષા અને સલામતી સહિતના મુદ્દા ઉપર વિવિધ ચર્ચા વિચારણા કરી સંગઠનની સ્થાપના કરાઈ હતી. સમસ્ત જમાતના યુવાનો સુલેમાન સુમાર મમણ, શોએબ સુલેમાન ગગડા, અનવર ચાકી, સલામ સમેજા, જુમા મામદ મમણ, મુબીન હિંગોરજા, બિલાલ સમા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:28 am

કિસાન સંઘની ચીમકી:આંદોલન દરમિયાન જે પરિસ્થિતિ નિર્માણ થશે તેની જવાબદારી વહીવટી તંત્રની :

દિવાળી પહેલાથી ખેડૂતો દ્વારા જેનો વિરોધ થઈ રહ્યો છે તે અદાણી કંપની દ્વારા ખાવડા થી હડદડ વીજ ટ્રાન્સમિશન લાઈનનું કામ ખેડૂતોના માલીકીના ખેતરોમાંથી વીજ પોલ નાખવાનુ કામ ચાલુ છે. ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વગર પોલીસને સાથે રાખીને ખેડૂતોને અને તેમની બહેન દિકરીઓ ઉપર લોકશાહીને ન શોભે તેવો અત્યાચાર થઈ રહયો છે તેવા આક્ષેપ સાથે કિસાન સંઘ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કિસાનોએ કરેલી રજૂઆત મુજબ કલેકટરના હુકમને આગળ ધરીને કંપની દ્વારા દાદાગીરી થઈ રહી છે. જિલ્લા સમાહર્તા દ્વારા એવો તો કેવો હુકમ કરી આપેલ છે અમને ખબર નથી પડતી. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન હટાવો કારણ કે હવે ખેડૂતોમાં ખુબ રોષ છે. જેના કારણે ન છુટકે અમારા સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડે છે. આ આંદોલન દરમિયાન કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે તો તેની જવાબદારી વહીવટી તંત્ર અને સરકારની રહેશે તેવી ચીમકી ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના ખેડૂતો ખેતરોમાં દોઢ મહિનાથી પંડાલ લગાવીને અદાણી કંપની સામે ધારણા કરી રહ્યા છે. કિસાનો યોગ્ય વળતરની માગ કરી રહ્યા છે તેની સામે કંપની પોલીસને સાથે રાખીને ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે તેવા આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર પ્રકરણના પડઘા રાજ્યમાં પડ્યા હોય તેમ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં આક્રોશ છે. જિલ્લા સમાહર્તાને રજૂઆત કરતી વખતે કિસાન સંઘ જિલ્લા પ્રમુખ કરમણ ગાગલ, લડત સમિતિના પ્રમુખ શિવજી બરાડિયા, જળ આયામ પ્રમુખ ભીમજી કેસરીયા, ઉપપ્રમુખ પુરષોત્તમ પોકાર, કિશોર વાસાણી, રામજી ડાંગર, પ્રેમજી લાખાણી જોડાયા હતા. પુરષોત્તમ પોકાર, કિશોર વાસાણી, રામજી ડાંગર, પ્રેમજી લાખાણી જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:26 am

108ના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી:અકસ્માતમાં ઈજાગ્રસ્તનો કિંમતી સામાન 108 સ્ટાફ દ્વારા પરત અપાયો

ભુજ-ભચાઉ હાઈવે પર કનૈયાબે અને ધાણેટી વચ્ચે બે બાઈક ભટકાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માતના બનાવમાં ઘવાયેલા માધાપરના યુવક પાસે રોકડ અને સોનાના દાગીના હતા જે સ્થળ પર પહોચેલ 108 ના સ્ટાફ દ્વારા સહીસલામત તેમના પરિવારજનોને સોપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં કનૈયાબે અને ધાણેટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બે બાઈક ભટકાતા માધાપર જુનાવાસમાં રહેતા વિમલભાઈ ગુસાઈ અને ભુજના જયનગરમાં રહેતા બે લોકોને ઈજા પહોચી હતી. અકસ્માત થતા દિનેશકુમારે 108 ને જાણ કરી હતી જેથી તાત્કાલિક ધાણેટી 108 એમ્બ્યુલન્સ સ્ટાફના ઈએમટી સચિન ઠાકોર અને પાયલોટ સવાભાઈ રબારી સ્થળ પર પહોચ્યા હતા.ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયેલા હોવાથી સ્થળ પર જરૂરી સારવાર કર્યા બાદ તેમને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઈજા પામેલા માધાપરના વિમલભાઈ ગુસાઈ પાસે એક સ્માર્ટ મોબાઈલ,સોનાનો દોરો,સોનાની વીંટી અને રોકડ રૂપિયા 5 થી 6 હજારનો મુદ્દામાલ હતો.108 ના સ્ટાફે ઘાયલ યુવાનનો કિંમતી મુદ્દામાલ હોસ્પિટલ પહોચેલા તેના પરિવારજનોને સહીસલામત રીતે સોપતા ટીમનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:24 am

આરોપી પોલીસના સકંજામાં:ગૌહત્યાના ગુનામાં ફરાર નાના દિનારાનો શખ્સ પકડાયો

ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌહત્યાના ગુનામાં ફરાર નાના દિનારાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ આરોપી નાના દિનારા અલૈયાવાંઢનો 27 વર્ષીય ઈલીયાસ રમજાન સમા આ ગુનામાં ફરાર હતો અને તે કાળા ડુંગર સીમમાં હાજર હોવાની બાતમી આધારે એલસીબી દ્વારા તપાસ કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેને ખાવડા પોલીસના હવાલે કરાયો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:23 am

વૃદ્ધને માર માર્યો:મોખાણાના વૃદ્ધને ટ્રકનો વિડીયો ઉતારવાના વહેમે માર મરાયો

કનૈયાબેમાં મોખાણા ગામના વૃદ્ધને હથોડીથી માર માર્યો હતો.જ્યારે માંડવી તાલુકાના જામથડા ગામની સીમમાં જાતી અપમાનિત કરી માર મારનાર બે આરોપી સામે ગુનો નોધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ત્રિકમભાઈ હધુભાઈ ખીમાભાઈ ઢીલાએ પદ્ધર પોલીસ મથકે મોખાણા ગામના આરોપી ભરત વેલજી અરજણ ઢીલા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 14 નવેમ્બરના સવારે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી ભુજ જવા માટે કનૈયાબે ગામના બસ સ્ટેન્ડ પર ઉભા હતા અને ફોનમાં વાત કરતા હતા.એ દરમિયાન આરોપી પોતાની ટ્રક લઈને ત્યાંથી નીકળ્યો હતો. ત્યારે ફરિયાદી પોતાની ટ્રકનો વિડીયો ઉતારતા હોવાનું વહેમ રાખી ભૂંડી ગાળો બોલી અહ્તી અને હાથથી માર માર્યા બાદ ટ્રકમાંથી હથોડી લઇ આવી ફરિયાદીને પીઠના ભાગે ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે બીજી તરફ જામથડાના ફરિયાદી કિશનભાઈ અશોકભાઈ સંજોટે ગઢશીશા પોલીસ મથકે આરોપી કપિલ પરેશદાન ગઢવી અને લખાણ પરેશદાન ગઢવી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ સોમવારે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં મુરીબેન ધોળુના ખેતરમાં ચાલતા એનટીપીસી કંપનીની પવનચક્કીના કામ માટે ગૌચર જમીનમાંથી પસાર થતા રસ્તા મામલે ગ્રામ પંચાયતની મંજુરી લીધેલી ન હતી.જેથી ફરિયાદી કામ રોકાવવા માટે ગયા હતા.એ દરમિયાન આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને માર મારી જાતી અપમાનિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:22 am

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન:સંશોધનના દ્વાર ખોલવા 19 થી 21 નવેમ્બર સુધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ

કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ દ્વારા ઈન્ડિયન ઈકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિએશન (IEASA) તથા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ સાથેના સહયોગથી 19 થી 21 નવેમ્બર દરમિયાન 6મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભુજમાં આયોજન કરાયું છે. યુનિવર્સિટીના કુલપતિ અને IEASA પ્રમુખ ડો. મોહન પટેલે જણાવ્યું કે, આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના પ્રખર શિક્ષણવિદો, નીતિ-નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સંશોધકો જોડાશે. કાર્યક્રમમાં કી-નોટ લેકચર્સ, પેનલ ચર્ચા, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન તેમજ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સેશનનો સમાવેશ કરાયો છે.કોન્ફરન્સમાંથી મળતા સૂચનોના આધાર પર એક નિતી પત્ર તૈયાર કરીને સરકારને પાઠવવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન ACT દ્વારા સસ્ટેઇનેબલ વોટર મેનેજમેન્ટ પર પેરલલ ટેકનિકલ સેશન યોજાશે. યુનિવર્સિટીમાં રીસર્ચ મહત્વનુ છે અને આવા કાર્યક્રમો થકી રીસર્ચ માટેના નવા દ્વાર ખુલી રહ્યા છે. કોન્ફરન્સ કન્વીનર પ્રોફેસર વિજય વ્યાસે જણાવ્યું કે, ઉદ્ઘાટન સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવશે.ચીફ ગેસ્ટ તરીકે દીનદયાળ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંહ હાજર રહેશે. ગેસ્ટ ઓફ ઓનર તરીકે અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના સીઇઓ રોબિન ભૌમિક અને ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી, બિલાસપુરના વાઈસ-ચાન્સેલર પ્રોફેસર આલોકકુમાર ચક્રવાલ ઉપસ્થિત રહેશે.કોન્ફરન્સ પ્રેસિડેન્શિયલ એડ્રેસ પ્રોફેસર તુષાર શાહ દ્વારા આપવામાં આવશે. અન્ય મહેમાનોમાં IEASA ફાઉન્ડર પ્રમુખ અને પેટ્રન ડૉ. ગિરિરાજસિંહ રાણા, પ્રોફેસર સંજય પાસવાનનો સમાવેશ થાય છે. વેલેડિક્ટરી સેશનમાં ઉચ્ચ શિક્ષણના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ મહેમાન તરીકે દીપક વોરા, સમાપન સત્રના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અદાણી સ્કિલ ફાઉન્ડેશન એક્ઝિક્યુટિવ ડીરેક્ટર વસંત ગઢવી અને અદાણી હેલ્થકેરના હેડ પંકજ દોશી ઉપસ્થિત રહેશે. IEASA સેક્રેટરી પ્રોફેસર અલોક કુમારે વિકસિત ભારત @ 2047 થીમ હેઠળ નક્કી કરાયેલા 10 ટેકનિકલ સેશનોની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં કુલ 127 રિસર્ચ પેપર રજૂ થશે.પાંચ પુસ્તકોનું વિમોચન થશે.જ્યારે 4 જર્નલ રિલીઝ કરવામાં આવશે.કાર્યક્રમ પૂર્વે યોજાયેલ તાલીમમાં વિદ્યાર્થીઓને રિસર્ચ પેપર લખવા બાબતે સમજ અપાઈ હતી આ કોન્ફરન્સના રિપોર્ટ તૈયાર કરનાર 3 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવશે.કચ્છ યુનિવર્સિટીના 70 પીએચડી વિદ્યાર્થીઓ સહિત અન્ય વિસ્તારમાંથી પણ લાભાર્થીઓ આવશે. રજિસ્ટ્રાર ડૉ. અનિલ ગોરે જણાવ્યું કે, આ કોન્ફરન્સ ગહન ચર્ચાઓ, નિષ્ણાતોના માર્ગદર્શન અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ તરફ અર્થપૂર્ણ યોગદાન આપશે.જ્યારે શિક્ષણ ક્ષેત્ર ઉદ્યોગ અને સમાજ સાથે ચાલે ત્યારે વિકાસ શક્યતા નહીં, પરંતુ નિશ્ચિતતા બની જાય છે.કાર્યક્રમના ડેપ્યુટી કન્વીનર ડૉ. કનિષ્ક શાહ, આસિસ્ટન્ટ કન્વીનર ડૉ. શીતલ બાટી રહ્યા છે. કચ્છમાં સંશોધનની શક્યતા ઘણી છે એટલે પસંદગી કરાઈઆ પરિષદ માટે કચ્છની જ પસંદગી કેમ કરાઈ તેવા સવાલનો જવાબ આપતા આઇશાના સેક્રેટરી પ્રોફેસર આલોક કુમારે જણાવ્યું કે,ગત વર્ષે આ અધિવેશન નોર્થ ઇસ્ટ ચેરાપુંજીમાં અને તે પૂર્વે કાશ્મીર શ્રીનગરમાં આયોજીત કરાયું હતું. કચ્છમાં સંશોધનની તક ઘણી છે જેમાં પ્રવાસનની સાથે ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે.બહારથી ડેલીગેટ્સ આવશે અને તેઓ કચ્છને સમજી કચ્છની વાત રજૂ કરશે તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે જે ઉપયોગી સાબિત થશે. આ મુદ્દાઓ પર 3 દિવસ દરમ્યાન થશે ચર્ચા

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:16 am

રોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ:લોરિયા અને બિબ્બર માર્ગ સુધારણાની ગુણવતા નબળી જણાતા કામ અટકાવાયું

ભુજ થી ખાવડા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (સ્ટેટ)નો માર્ગ ઘણા સમયથી ભારે વાહનોને કારણે સતત તૂટતો રહ્યો છે અને રીપેરીંગ પણ થાય છે. થોડા સમય પહેલા લોરીયા થી બિબ્બર (ભુજ નખત્રાણા માર્ગ) સુધી 22 કિલોમીટર રસ્તાના સુધારણાનું કામ પણ વિવાદમાં પડ્યું છે. સ્થાનિક અગ્રણીઓ અને પંચાયતના સભ્યોના આક્ષેપ મુજબ નિરોણા ગામમાંથી પસાર થતો 1200 મીટરનો સીસી રોડ જૂની સડક ખોદીને નવો બનાવવાને બદલે જેમ છે તેના પર સિમેન્ટનું સ્તર ચડાવતા દિવાળી પર કામ અટકાવ્યું હતું. નિરોણા પાસે સીસી રોડ અટકાવવા બાબતે ગામ અગ્રણી વિરમભાઈ આહિરે જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની સુધારણાનું કામ થઈ રહ્યું છે. આ ડામર વર્ક કરતી વખતે સાઇડ સોલ્ડર ભરતી કરવાની હોય તેમાં ઠેકેદારને ફાયદો કરાવીને સિમેન્ટ માટેના રસ્તામાંથી નીકળતા મલબાને જ પાથરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ડામર કામ કરવા માટે જુના રોડને ખોદીને તેમાં 40% મોરમ, જીએસપી બાદ સિમેન્ટનું સ્તર બનવું જોઈએ તેને બદલે સીધો સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ટેન્ડરમાં આઈટમ રેટ મુજબ થાય તો જ મજબૂત માર્ગ બને. નિરોણા ગ્રામ પંચાયતના સદસ્યો તથા ગ્રામજનોએ આ જ કારણસર દિવાળી પર કામ અટકાવ્યું હતું જે ફરીથી બે દિવસ પહેલા શરૂ થતા કામની ગુણવત્તા બાબતે શંકા જતા લોકોએ સાથે મળીને ગુણવતાસભર કામ કરવા જ દેવાશે તેવું કહ્યું હતું. ગ્રામ પંચાયત સદસ્ય રાજેશ પુંજાલાલ ભાનુશાલી, વિશ્રામભાઇ આહીર, વાલાભાઈ, ઉંમરભાઈ કુંભાર સહિતનાઓ કામની ગુણવત્તા બાબતે નાયબ કાર્યપાલક સુધી રજૂઆત કરી હતી. જોકે સાઇટ વિઝીટ કરીને યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી મળ્યા બાદ કામ શરૂ થશે તેવું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:14 am

તૈયારીઓ પૂરજોશમાં:ભુજમાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં

ઈતિહાસમાં પહેલી વાર મુખ્ય સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નો સ્થાપના દિવસનો કાર્યક્રમ ભુજમાં યોજાઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.આ ઉજવણી એક સીમાચિહ્નરૂપ ઘટના છે, જે બીએસએફની સેવા અને બહાદુરીના 60 ગૌરવશાળી વર્ષો (ડાયમંડ જ્યુબિલી) ની યાદમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં મોટરસાયકલ રેલીનો સમાવેશ થાય છે જેને જમ્મુથી લીલીઝંડી આપવામાં આવી હતી અને 19નવેમ્બરના ભુજમાં સમાપ્ત થવાની છે. બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરી તાજેતરમાં ભવ્ય કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરવા માટે ભુજની મુલાકાતે આવ્યા હતા.BSF સ્થાપના દિવસ સામાન્ય રીતે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જે 1965માં દળની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે. જોકે, મુખ્ય પરેડ અને ઉજવણી ઘણીવાર 1 ડિસેમ્બરની નજીક અથવા નવેમ્બરના અંતમાં કરવામાં આવે છે અને દર વર્ષે દેશભરમાં વિવિધ સ્થળોએ જનજાગૃતિ કેળવવા અને સરહદી સમુદાયો સાથે જોડાવા માટે યોજવામાં આવે છે. ભુજમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, સ્થાનિક અધિકારીઓ અને BSF કર્મચારીઓ ખાતરી કરે છે કે, ઉજવણી શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવ બંનેને પ્રતિબિંબિત કરે છે. આ ઉજવણી ફક્ત છ દાયકાની સેવાની યાદમાં જ નહીં પરંતુ ભારતના સુરક્ષા દળોની વિકસિત શક્તિ અને વિવિધતાનું પણ પ્રતીક હશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:12 am

સિટી એન્કર:ભારતની દેવવાણી સંસ્કૃત ભાષામાં લગ્ન પત્રિકા છપાવી યુવાએ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાની પહેલ કરી

આજના આધુનિક યુગમાં લગ્ન જેવા શુભ પ્રસંગો ‘ઇવેન્ટ’ બની ગયા છે. માંગલિક પ્રસંગોમાં થતી વિધિઓ વૈદિક ઉચ્ચારણ સાથે ધાર્મિક અને પ્રાચીન પરંપરા મુજબ ઉજવવાની દિશા બદલાઈ છે, ત્યારે ભુજના યુવાને લગ્ન પત્રિકા સંસ્કૃતમાં છપાવીને ભારતની પ્રાચીન ગૌરવપ્રદ ભાષાને પ્રાધાન્ય આપ્યું છે. આજકાલ કંકોત્રીઓ અંગ્રેજીમાં પ્રકાશિત થતી હોય છે તેને બદલે દેવવાણીમાં બનાવવા અંગે અભિષેક રવિભાઈ ગરવા કહે છે કે, વિશ્વની સૌથી સમૃદ્ધ અને જૂની ભાષાને આપણે ભૂલી ગયા છીએ તે જીવંત બનાવવાનો એક નાનકડો પ્રયાસ છે. તમામ વેદો, ઉપનિષદો, ગીતા, પુરાણ, મહાભારત અને રામાયણ પણ સંસ્કૃતમાં લખાયેલાં છે. ભારતનાં પ્રાચિન ઋષિમુનિઓએ તમામ ક્ષેત્રોમાં સંકૃતમાં ઋચાઓ લખીને ઉપલબ્ધતા પ્રાપ્ત કરી હતી. મોટાભાગની ભાષાઓ સંસ્કૃતમાંથી જ બની હોવાના પ્રમાણ છે. ભારતની આ પ્રાચીન ભાષા પર વિદેશી આક્રમણને કારણે અંગ્રેજીનું ચલણ વધતું ગયું. ઇન્સ્યુરન્સ ક્ષેત્રે જોડાયેલા ભુજના યુવાન પોતાના લગ્ન માટેની પત્રિકામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીને અનેક લોકોને પ્રેરણા આપી છે. સંસ્કૃત પત્રિકા પ્રકાશિત કરવા પાછળની પ્રેરણા માટે અભિષેક જણાવે છે કે આજકાલ આધુનિક ભાષા અંગ્રેજીનું વળગણ છે જેને કારણે લોકો સંસ્કૃતને ભૂલ્યા છે. પરંતુ વિશ્વની સૌથી જૂની સમૃદ્ધ અને દેવવાણી કહી શકાય તેવી સંસ્કૃતના શબ્દોનું ઊંડાણ અનોખું છે. તે માત્ર ભૂતકાળ નહીં પરંતુ વર્તમાન અને ભવિષ્યની પણ ભાષા છે. ભારતની સંસ્કૃતિ અને ગૌરવસભર વારસો એવી આ ભાષાના મૂલ્યો જાળવવા જ જોઈએ. આ ભાષા નૈતિકતા શીખવે છે જેની વર્તમાન સમયમાં ખૂબ જરૂરિયાત છે. સંસ્કૃત એકમાત્ર ધાર્મિક ભાષા તરીકે ઓળખાય છે પરંતુ વાસ્તવમાં આ પ્રાચીન ભાષામાં દુનિયાની બીજી કોઈપણ ભાષા કરતાં વધારે શબ્દો છે. વર્તમાન સંસ્કૃતનાં શબ્દકોષમાં 102 અબજ 78 કરોડ 50 લાખ શબ્દો છે. સંસ્કૃત કોઈપણ વિષય માટે અદભુત ખજાનો છે. જેમ કે હાથી માટે જ સંસ્કૃતમાં 100 થી વધારે શબ્દો છે. તેમજ બીજી કોઈ ભાષાનાં મુકાબલે સંસ્કૃતમાં સૌથી ઓછા શબ્દોમાં વાક્ય પુરુ થઈ જાય છે. કર્ણાટકનાં મુત્તુરનાં લોકો સંસ્કૃત ભાષામાં વાત કરે છેકર્ણાટકનાં મુત્તુર ગામનાં લોકો માત્ર સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે. સુધર્મા સંસ્કૃત ભાષામાં પ્રથમ ન્યુઝ પેપર હતું. આજે પણ તેનું ઑનલાઈન સંસ્કરણ ઉપલબ્ધ છે. રાજ્યની સત્તાવાર અને મૂળ ભાષા કન્નડ હોવા છતાં મત્તુરના રહેવાસીઓએ સંસ્કૃતમાં તેમના રોજિંદા સંદેશાવ્યવહાર દ્વારા પ્રાચીન ભાષાને જીવંત રાખવામાં વ્યવસ્થાપિત કરી છે તે એક અનોખી સિદ્ધિ છે. મત્તુરમાં મુખ્યત્વે સાંકેથીઓ, એક બ્રાહ્મણ સમુદાય જે કેરળમાંથી સ્થળાંતર કરીને લગભગ 600 વર્ષ પહેલાં મત્તુરમાં સ્થાયી થયો હતો. સિટી એન્કર

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:09 am

સ્થાનિકોને વિવિધ રોગની સારવાર મળી રહેશે:RTO રિલોકેશન વિસ્તારમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો આરંભ

શહેરના આરટીઓ રિલોકેશન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં સ્થાનિકોને સવાર અને સાંજ વિવિધ રોગની સારવાર મળી રહેશે. આ બાબતે મળતી માહિતી મુજબ, આયુષમાન ભારત અંતર્ગત અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.કેમ્પ એરિયા જૂની મેન્ટલ હોસ્પિટલની સામે આવેલા સરકારી અર્બન હેલ્થ સેન્ટરના નેજા હેઠળ આ કેન્દ્ર કાર્ય કરશે.સેન્ટરમાં એક એમબીબીએસ ડોક્ટર, સ્ટાફ નર્સ, MPHW સહિતનું મહેકમ મંજુર કરાયું છે. દર્દીઓ માટે સવારે અને સાંજે આ કેન્દ્ર ખુલ્લું રહેશે.ભુજમાં સંજોગ નગર, રાવલવાડી, ગાંધીનગરી, સુરલભીઠ અને પ્રમુખસ્વામીનગર બાદ આ છઠું કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે .ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં લાંબા સમયથી સરકારી દવાખાનાની જરૂરિયાત હતી અને મંજુર પણ થયું હતું જોકે દવાખાનું ચલાવવા માટે યોગ્ય મકાન ન મળતા સુવિધા ઉભી થઈ ન હતી.હવે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેથી સ્થાનિકની વિવિધ સોસાયટી અને આરટીઓના લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:08 am

ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમનો દરોડો:ભુજ તાલુકાના છેવાડાના કાઢવાંઢ ગામે નદીપટ્ટમાં થતી રેતીચોરીને ઝડપી લેવાઇ

ભુજ તાલુકાના છેવાડાના કાંઢવાંઢ ગામે ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે દરોડો પાડી નદીપટ્ટમાં થતી રેતીચોરી પકડી પાડી હતી.સ્થળ પરથી ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાયેલા એસ્કેવેટર મશીનને કબ્જે કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ખનિજચોરીના વધતા બનાવો અન્વયે જિલ્લા કલેક્ટર દ્વારા ખનિજ ચોરી અટકાવવાની સૂચના આપવામાં આવી છે જેથી કલેક્ટરની સુચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા 16 તારીખે કાર્યવાહી કરવામાં આવી હતી.ખાવડા પંથકમાં સાદી રેતી ખનિજ ચોરીની અવારનવાર મળતી ફરીયાદોને ગંભીરતાથી લઈ આસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમ્યાન ભુજ તાલુકાના છેવાડાના કાંઢવાંઢ ગામે આવેલ નદીપટ્ટમાં સાદીરેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતુ એક એસ્કેવેટર મશીન પકડવામાં આવ્યું હતું.આ મશીનને સિઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. જેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાલક કે વાહન માલિક પાસે રેતી ખનન સંદર્ભે આધાર પુરાવા મળી આવ્યા નથી જેથી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:08 am

ઈ-બાઈકનો ધંધો કરી મહિને લાખો કમાઓ!:રોકાણ અને કમાણી કેટલી? સરકાર સબસિડી પણ આપે, ગુજરાતના 2 શહેરમાં વધુ ફાયદો

શું 10 ઇલેક્ટ્રિક બાઇકથી મહિને લાખ રૂપિયા કમાઈ શકાય છે? જવાબ છે, હા આ શક્ય છે... ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઈ-બાઈક બિઝનેસ કરવો એ અત્યારે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, ખાસ કરીને જો તમે સરકારની પોલિસીનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો. આ બિઝનેસમાં સૌથી સ્માર્ટ રસ્તો B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મોડલ છે. આ મોડલમાં તમે Zomato, Swiggy જેવી ડિલિવરી કંપનીઓને તમારી ઈ બાઈક ફ્લીટ ભાડે આપીને મહિને ચોક્ક્સ કમાણી કરી શકો છો. બિઝનેસનું ગણિત અને રોકાણ આ B2B મોડલ શરૂ કરવા માટે, તમારે આશરે 8 લાખ રૂપિયાની 10 ઈ બાઈક, 12 લાખ રૂપિયાનું 'બેટરી સ્વેપિંગ સ્ટેશન' અને 4 લાખ રૂપિયાના વ્હાઈટ-લેબલ સોફ્ટવેરની જરૂર પડશે. એટલે કે કુલ રોકાણ આશરે 24 લાખ રૂપિયા થાય છે. સરકાર કેવી રીતે મદદ કરશે? 24 લાખની રકમ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ ખર્ચ પર સરકારી મદદ મેળવવા માટે ગુજરાત સરકાર પાસે જ બે જોરદાર રસ્તા છે: સ્થાનિક પાલિકાનો વધારાનો લાભ જો તમે અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ની હદમાં આ બિઝનેસ શરૂ કરો છો, તો તમને વધારાની સબસિડી પણ મળી શકે છે. જ્યારે, જો તમે સુરત મહાનગર પાલિકા (SMC)ની હદમાં ધંધો શરૂ કરો છો, તો તમને બેટરી સ્વેપિંગ સ્ટેશન બનાવવા માટે 10 ટકા પાર્કિંગની જગ્યા મફત મળશે. ખર્ચ ઘટાડવા અને ધંધો વધારવા માટે 2 સ્માર્ટ ટિપ્સ આટલું ખાસ યાદ રાખો જોખમ સામે સુરક્ષા આ ધંધામાં ચોરી અને અકસ્માતનું જોખમ હંમેશા રહે છે. આનાથી બચવા માટે સૌથી સ્માર્ટ ઉપાય છે કે તમામ બાઈકનો કોમ્પ્રિહેન્સિવ વીમો (Comprehensive Insurance) લેવો. આનાથી જો બાઈક ચોરી થાય કે અકસ્માત થાય, તો પણ ટેન્શન તમારે નહીં પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીને રહેશે. ટૂંકમાં, ઈ-બાઈક બિઝનેસમાં તક મોટી છે અને સરકારની મદદ તમારું જોખમ ઘટાડી દે છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર માહિતીપ્રદ હેતુ માટે છે, તેને નાણાકીય સલાહ ન ગણવી. કોઈ પણ બિઝનેસમાં જોખમ રહેલું છે. લેખમાં દર્શાવેલ ખર્ચ, કમાણી અને સરકારી સબસિડીના આંકડા અંદાજિત છે અને સમય તથા સંજોગો મુજબ બદલાઈ શકે છે. રોકાણ કરતા પહેલા વાચકે પોતાની રીતે સંપૂર્ણ તપાસ કરવી અને નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:05 am

ઈ બાઈક બિઝનેસથી મહિને લાખો કમાવો:જાણો ખર્ચા અને કમાણીનું ગણિત, સરકારી 'ગ્રાન્ટ' કે 'સબસિડી' કઈ રીતે લેવી? 3 સ્માર્ટ ટિપ્સ લાખો બચાવશે

શું તમે 10 ઈલેક્ટ્રિક બાઇકથી મહિને 75 હજારથી 1 લાખ રૂપિયા કમાવવાનું વિચારી રહ્યા છો??? ભારતમાં આ બિઝનેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને Zomato, Swiggy જેવી ડિલિવરી કંપનીઓને B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મોડલ પર બાઇક ભાડે આપવાનો ટ્રેન્ડ ચાલી પડ્યો છે, જેમાં દર મહિને નિશ્ચિત આવક મળે છે. પણ આ બિઝનેસ શરૂ કરવાનો ખર્ચ કેટલો? એક અંદાજ મુજબ, 10 'કાર્ગો' બાઇક અને સ્વેપિંગ સ્ટેશન સાથે આ સેટઅપ ₹24 લાખ સુધી પહોંચી શકે છે. આટલું મોટું રોકાણ જોઈને અટકાઈ ન જતાં. આ ખર્ચને પહોંચી વળવા અને તમારા જોખમને ઘટાડવા માટે ગુજરાત સરકાર પાસે જ બે જોરદાર રસ્તા (સ્કીમ) છે. ચાલો, આજે આખા બિઝનેસ પ્લાન અને સરકારી મદદનું ગણિત ભાસ્કર એક્સપ્લેનરમાં સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ. બિઝનેસ મોડલ અને ખર્ચનું ગણિત આમ તો આ બિઝનેસના બે પ્રકાર છે. B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર અને B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. આમાં સૌથી સ્ટેબલ મોડલ B2B ગણાય છે. એટલે કે, તમારી ઈ-બાઈક ફ્લીટ (જથ્થો) ડિલિવરી કંપનીઓને ભાડે આપવી. આના માટે તમારે નીચે મુજબના કામ અને ખર્ચ કરવાના રહેશે. તમારે ગ્રાન્ટ લેવી કે સબસિડી? આ ₹24 લાખના રોકાણ માટે સરકાર તમને બે અલગ-અલગ રીતે મદદ કરી શકે છે. એ સમજવું જરૂરી છે કે તમારે તમારી યોગ્યતા મુજબ બેમાંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો રહે છે. વિકલ્પ 1: સ્ટાર્ટઅપ ગુજરાત ગ્રાન્ટ આ રસ્તો એવા લોકો માટે છે જેમનો બિઝનેસ આઇડિયા માત્ર બાઇક ભાડે આપવા પૂરતો નથી, પણ તેમાં કોઈ નવીનતા (Innovation) છે. તેમને જ લાગું પડે છે. વિકલ્પ 2: ગુજરાત ઈવી પોલિસી સબસિડી આ બધા માટે સીધો અને સરળ રસ્તો છે કારણ કે જો તમારો પ્રોજેક્ટ ઇનોવેટિવ કેટેગરીમાં ન આવતો હોય, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ બીજો રસ્તો દરેક ઈ-બાઈક બિઝનેસ કરનાર માટે ઉપલબ્ધ છે. અમદાવાદ અને સુરતમાં વધારાનો ફાયદો ગુજરાત રાજ્ય સરકારની પોલિસી ઉપરાંત, અમુક મહાનગરપાલિકા પણ વધારાના લાભ આપે છે. (અરજી કરતાં પહેલાં ચકાસવું કે રાજ્ય અને સ્થાનિક બંને સબસિડી એકસાથે મળે છે કે કેમ). ત્રણ સ્માર્ટ ટિપ્સ જે લાખો બચાવશે આટલું ખાસ યાદ રાખો ઈ-બાઈક બિઝનેસમાં મોટી તક છે. ભલે તમારે ₹24 લાખ જેવા રોકાણથી શરૂઆત કરવી પડે, પણ સરકારની પોલિસીઓ (ખાસ કરીને EV સબસિડી) તમારા આ રોકાણના જોખમને ઘણું ઓછું કરી દે છે અને તમારા નફાને વધારી દે છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વાંચક માટે ખાસ નોંધ: આ લેખમાં આપેલા ખર્ચના આંકડા (જેમ કે ₹24 લાખ) અને સબસિડીની રકમ (જેમ કે ₹20,000) બજારના અંદાજો અને વર્તમાન પોલિસી મુજબ છે, જે સમય જતાં બદલાઈ શકે છે. સરકારી ગ્રાન્ટ કે સબસિડીની પ્રક્રિયા જટિલ હોઈ શકે છે અને તેની ચોક્કસ પાત્રતા (Eligibility Criteria) અને શરતો હોય છે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં, વાચકોને ભારપૂર્વક સલાહ છે કે તેઓ 'સ્ટાર્ટઅપ ગુજરાત' અને ગુજરાત સરકારના 'ઇવી પોલિસી' પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમામ નવા નિયમો, શરતો અને અરજી પ્રક્રિયાની જાતે જ ચકાસણી કરી લે. આ લેખ માત્ર માહિતી અને માર્ગદર્શન માટે છે જેની વાંચક મિત્રોએ ખાસ નોંધ લેવી. વધુ વીડિયો જોવા નીચેના ફોટો પર ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:05 am

ખાડાએ લીધો યુવાનનો જીવ:વરણામા હાઇવે પર ત્રણ સવારી યુવકોનું મોપેડ 1 ફૂટના ખાડામાં પડ્યું,એકનું મોત

વરણામાના રાંભીપુરાનો યુવક શનિવારે 2 મિત્રો સાથે તરસાલી ચોકડી આવી રહ્યો હતો. વરણામાના કટ પાસે 1 ફૂટ ઊંડા ખાડામાં ત્રણ સવારી યુવકોનું મોપેડ પટકાતાં ત્રણેય ઈજાગ્રસ્ત થયા હતા. મોપેડ સવાર આશિષનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના પિતાએ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ બહેનો વચ્ચે આશિષ એકનો એક ભાઈ હતો. 18 વર્ષીય આશિષ પાટણવાડીયા, ફળિયામાં રહેતા જીગર પાટણવાડીયા અને જતીન પાટણવાડીયા શનિવારે રાત્રે મોપેડ લઈને નીકળ્યા હતા. તો બીજી બાજુ આશિષના પિતા અરવિંદભાઈ તેમની દીકરીની સારવાર કરાવવા માટે જમનાબાઈ હોસ્પિટલમાં આવ્યા હતા. રાત્રીના સવા અગિયારના અરસામાં તેમને ફોન આવ્યો હતો કે, વરણામા કટ પાસે આશિષનો અકસ્માત થયો છે અને તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જેથી અરવિંદભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે જીગર અને જતીન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા, આશિષને માથાના ભાગમાં ઈજા પહોંચતા તે બેભાન હાલતમાં હતો. જોકે સારવાર દરમિયાન સોમવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં તેનું મોત થયું હતું. જેને પગલે અરવિંદભાઈએ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સમયે જતીન મોપેડ ચલાવી રહ્યો હતો અને ખાડામાં ખાબકતા તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 1 યુવક કોમામાં, એકની હાલત ગંભીરરાત્રી દરમિયાન થયેલા અકસ્માતમાં ત્રણેય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં આશિષનું મોત થયુ છે. જ્યારે તેની સાથે મોપેડ સવાર એક યુવક હાલ કોમામાં સરી પડ્યો છે જ્યારે બીજા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર ચાલી રહી છે. જામ્બુવા બ્રિજથી લઈને કપુરાઈ ચોકડી સુધી હાઈવે પર મોટા ખાડાશહેરની સાથે હાઈવે પર ખાડાની સમસ્યા ખુબ જ વધી ગઈ છે. શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક ખાડા છે. જેના કારણે લોકો તકલીફમાં મૂકાય છે. 2 દિવસ પહેલાં હું ખાડામાં પડતા-પડતા બચ્યો હતો. હાઈવે ઓથોરીટીને કામ જ નથી કરવું. > ચિરાગ અમીન, વરણામા ખાડાને કારણે બાઈકનું ટાયર જામ થઈ ગયું, ચાલકે સંતુલન ગુમાવ્યુંમોપેડ પર સવાર 3 યુવકો જ્યારે ખાડામાં પટકાયા ત્યારે મોપેડનું પાછળનું પૈડુ જામ થઈ ગયું હતું. જેના કારણે જતીને મોપેડનું સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ રોડ પર પટકાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:03 am

દરિયાના મોજા સામે મોજેમોજ, ડ્રોન વીડિયો:મુંબઈ અને ગોવા દરિયા કિનારા જેવી મજા ડુમસમાં મળશે, આવતા મહિને સુરતીઓને બીચ પર સાયકલટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે

ડુમસ દરિયા કિનારો એ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે. જેને વધુ આકર્ષક બનાવવા માટે કામ થઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડુમસ સી ફેસ ફેઝ 1 અને 2ની મોટાભાગની કામગીરી પૂર્ણ થવા આવી છે. તેના પગલે આગામી 15 ડિસેમ્બરના રોજ ડુમસ સી ફેસનું લોકાર્પણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતા મહિને સુરતીઓને ડુમસ બીચ પર સાયકલ ટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે. ડુમસ બીચ પર મુંબઈ અને ગોવાના બીચ જેવો અહેસાસ થાય તેવી સુવિધાસુરત શહેરને ઇન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ મળે તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. મુંબઈ જુહુ બીચ મરીન ડ્રાઈવ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સુરતમાં પણ ડુમસ બીચ છે પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે પરંતુ લોકોને કંઈક સુવિધા મળતી નથી. પરંતુ હવે સુરત શહેર અને બહારથી આવતા લોકોને મુંબઈ અને ગોવાના બીચ જેવો અનુભવો થાય આ માટે ખાસ ડુમસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ માટે ફોકસ કરી રહી છે. ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચાર ઝોનસુરત શહેરમાં ડુમસ સી ફેસના ડેવલોપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કુલ ચાર ઝોનમાં ઝોન-1 – અર્બન ઝોન, ઝોન-2 – પબ્લિક સ્પેસ-ઈકો ઝોન, ઝોન-3 – ફોરેસ્ટ-ઇકો ટૂરિઝમ અને વેલનેસ ફેસિલિટી, ઝોન-4 – ડુમસ પોર્ટ અને જેટીનો પુનર્વિકાસ તથા યાટ ઝોન. ઝોન-1 અર્બન ઝોનમાં પેકેજ-1 અને પેકેજ-2 મળી કુલ 22.86 હેક્ટર અનામત ખંડ નં.આર-64 પૈકી અને બિનનંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી હતી, જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ-1 એટલે કે 12.32 હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે. આ સી-ફેસ પ્રોજેક્ટ 78.99 હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની 23.07 હેક્ટર મળી કુલ 102.06 હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની 45.93 હેક્ટર સરકાર હસ્તકની બિનનંબરી જમીન છે. આ જમીન પર સૂચિત ઈકો ટૂરિઝમ પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે. 175 કરોડના ખર્ચે થઈ રહ્યું છે ડુમસ બીચનું ડેવલપમેન્ટસુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, ડુમસ એટલે સુરતનું એકમાત્ર હરવા-ફરવાનું સ્થળ. લગભગ દર શનિ-રવિએ શહેરીજનો ડુમસની મુલાકાત લેતા હોય છે. જેને કારણે સુરત મહાનગરના ભાજપ શાસકોએ ડુમસને વિકસાવવાનો નિર્ણય કરેલો હતો. અંદાજે 175 કરોડના ખર્ચે ડુમસના પેકેજ-1 અને પેકેજ-2 નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જે અંતિમ તબક્કામાં છે. અમારી ગણતરી છે કે 15 ડિસેમ્બરની આસપાસ ડુમસનું પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવામાં આવે. સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉપલબ્ધ થશેઆ ડુમસ સી-ફેસના લોકાર્પણ બાદ ત્યાંના સ્થાનિકો માટે એક રોજગારીનો એક નવો અધ્યાય શરૂ થશે. પહેલા લગભગ શનિ-રવિએ લોકો ડુમસની મુલાકાત લેતા હતા, પણ ડુમસ સી-ફેસ ખુલ્લો મુકાતા ત્યાં અલગ-અલગ ગેમ્સ લોકો રમી શકશે. તે ઉપરાંત ફૂડ કોર્ટ પણ છે, સાયકલ ટ્રેક છે. ત્યાં એક અલગ એક્ટિવિટીઓ કરી શકે તેવું તમામ આયોજન છે, જેને કારણે લોકોને ડુમસ જવા માટે એક કારણ મળી શકશે. અને ફક્ત શનિ-રવિ નહીં, સાતેય સાત દિવસ ડુમસમાં સહેલાણીઓ ઊમટી પડશે, જેનો સીધો ફાયદો ત્યાં સ્થાનિક લોકોને રોજગારીમાં થવાનો જ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા:ટુંડાવની કંપની પાસે 15 કરોડની ખંડણી માગવાના કેસમાં આરોપીઓ જેલ ભેગા

ટુંડાવની કંપનીના ડાયરેક્ટરને એનજીટીના અધિકારીનો સપોર્ટ છે. કંપની પોલ્યુશન ફેલાવે છે. કંપની બંધ કરાવી દઈશું તેમ જણાવી 15 કરોડની ખંડણી માગવાના કેસમાં સયાજીગંજ પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. ટુંડાવ ખાતે આવેલી ઈન્ડો એમાઇન્સ લી. કંપનીમાં જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહિડા બંને કંપનીએ ગયા હતા અનેત્યાં ગામના લોકોએ કંપની વિરૂદ્ધ પોલ્યુશન બાબતે ફરિયાદ કરી છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ સયાજીગંજની એફોટેલ હોટલમાં મિટિંગ યોજી જીતસિંહ રાણા તથા સુનીલ મહિડા અને સમા વિસ્તારમાં રહેતા સન્ની પ્રવીણભાઈ સોલંકી ગયા હતા 15 કરોડ આપવા પડશે, નહીં તો એનજીટીના અધિકારીઓ કંપનીને બંધ કરાવી દેશે તેમ કહ્યું હતું. પોલીસે બંનેની અગાઉ ધરપકડ કરી હતી. ગઈ કાલે વધુ 1 આરોપી સન્ની સોલંકી ને ઝડપી પાડ્યો હતો.દરમ્યાન આરોપીઓના 1 દિવસના રિમાન્ડ પુરા થતા આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યાં કોર્ટે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો. પકડાયેલા આરોપીઓ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

'સાપ પર પગ દેવાઈ ગયો છે,અહીં ન આવતા':શેતાન શૈલેષે તકીયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું, બીજા રૂમમાં પુત્ર-પુત્રીને પતાવી દીધા, ભાવનગરમાં ACFના ઘરમાં શું શું થયું?

તારીખ: 5 નવેમ્બર, 2025સ્થળ: ફોરેસ્ટ કોલોની, ભાવનગરસમય: સવારના 7.00થી 8.00 ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે 6 નવેમ્બરે થોડી ચહલ પહલ હતી. આમ તો અવાવરુ જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવર જવર જોવા મળતી નથી. પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીના ડમ્પર આવે છે. આ દરમિયાન એક બીટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વારટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો, પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે. જો કે તે વ્યક્તિનો સાપ પર પગ નહોતો આવ્યો પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રીક હતી. 5 નવેમ્બર, 2025ની સવાર હતી. હજુ તો સુરજ દાદા ઉગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં શાંતિ છવાયેલી હતી અને ઘણાં લોકો ઉંઘમાં હતા. બરાબર આ જ સમયે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ક્વાટરમાં એક ખતરનાક ષડ્યંત્રને અંજામ આપવાની તૈયારીઓ થઈ રહી હતી. આ તૈયારીઓ બીજા કોઈએ નહીં પણ એક વર્ષ પહેલાં જ પ્રમોશન લઈને ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) બનેલા શૈલેષ ખાંભલાએ કરી હતી. આગળ જતા આ ભયંકર અને ધ્રુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી. શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતા. જો કે તેઓ સુરતમાં રહેતા હતા. પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યા હતા. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી. જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો. 5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સુતા હતા ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઉંઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઉંઘી રહેતા તેના પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલાં પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકીયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડી. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો7 વાગ્યે વ્હાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધા બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા. પરંતુ હવે તેમાં લાશ મૂકવા અને પછી તેને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાંખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાંખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાંખી દીધું. શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતોઅને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો. પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી. જેમાં પત્ની નયનાબેન ,દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો-આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યો હતો. સિક્યુરિટીએ કહ્યું મેં તો તેના પત્ની કે બાળકોને જોયા નથી8 નવેમ્બરના રોજ ગુમ થયેલા નયનાબેનનો મોબાઇલ નંબરના સીડીઆર મંગાવવામાં આવ્યા. આ દરમિયાન ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયા હોવાનું સિક્યુરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યુરિટીની પૂછપરછ કરતા બાળકો કે પત્નીને જોયા ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતા પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતા રહ્યા હતા તેના ઉપર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મંગાવી તેમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની વધુ પૂછપરછ કરી હતી. મેસેજ ડ્રાફ્ટમાં જ પડ્યો રહ્યો ને શૈલેષનું કામ તમામ થઈ ગયુંશૈલેષે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો. જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે તેવી વાત લખી હતી.જો કે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં કારણ કે ફોન એરોપ્લેન મોડમાં જ હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા તે મિસમેચ આવ્યો હતો. જેના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો. પોલીસે RFOને પૂછ્યું ને એક બાદ એક રહસ્યો ખુલવા લાગ્યાઆ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતા પોલીસે શૈલેષનો મોબાઈલ ટ્રેસ કરી તેમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેઇલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતા તે નંબરના વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતા અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું. 2 નવેમ્બરે ખાડા કરવા સૂચના આપી, પછી માટી નંખાવીત્યાર બાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણીયાનું નિવેદન લેવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું કે, શૈલેષે તેના ક્વાટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સુચના આપી. ત્યારબાદ આ જ ખાડાને ફરી બુરવા માટે શૈલેષે સુચના આપી. આ સુચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ (ટાશ) મગાવી ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં બુરાવી તે જગ્યા સમતલ કરાવી હતી. જેને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી. 'ACF ખાંભલા સાહેબના કવાટર પર મોરમની જરૂર છે'આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન આપવા બોલાવ્યા. જેમાં તેમણે જણાવ્યું કે, 6 નવેમ્બરે સવારના 8.35 વાગ્યે પોતાના મોબાઇલ ફોન ઉપર RFO મીત વાણીયાએ ફોન કરી કહ્યું કે, ACF ખાંભલા સાહેબના કવાટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે તેમ કહેતા કુલદિપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. આ પછી સવારે 10 વાગ્યે ડમ્પર વાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણીયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બન્ને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને ACF ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે તેમ પૂછતા કહ્યું હું આવુ છું. 'તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે'ત્યાર બાદ થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાના છે? તેમ પૂછતા તેણે કહી દીધું કે, આ ડમ્પર પાછળ લઇ લો. જ્યાં તેના કવાટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાટર પાછળ થઈને જ્યાં ડમ્પર નાંખવાના હતા તે ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું કે, તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે. 'ખાડામાં રાત્રે એક રોજડુ પડી ગયું હતું એટલે મેં ગાદલું નાંખ્યું'આ ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે તેનાથી જેસીબીથી પુરાવી દેત ત્યારે ખાંભલાએ કહ્યું કે, ખાડામાં રાત્રે એક રોજડુ(નીલ ગાય) પડી ગયું હોવાથી તેને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી દીધું હતું અને તેના સહારે રોજડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બુરી દેવાયો હતો. એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યોત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો તેમ કહેતા જગ્યાને સમથળ કરાવી દીધી હતી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણીયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાટર પાસે તેના જણાવ્યા પ્રમાણે એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ બુરવા માટે વધુ મોરમ(માટી) મંગાવી ખાડો બુરી દેવાનું કહ્યું જે બાદ મોરમ લઈ અને ખાડાઓ બુરી આપ્યા હતા. ઘટનાસ્થળે ખોદકામ કર્યું ને એક બાદ એક ત્રણ લાશો નીકળીઆ માહિતી અંગે સીટી DySP આર.આર.સિંઘાલને જાણ કરવામાં આવી હતી. જેમાં 16 નવેમ્બરના રોજ બે પંચો હાજર રાખી પંચરોજ કામ કરવામાં આવતા, જેની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા વિડિયોગ્રાફર, આરએફઓ અમિત વાણિયાને સાથે રાખી ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવ્યું. આ દરમિયાન 3 માનવ મૃતદેહ ખાડામાંથી મળી આવતા તેની ઓળખ પરેડ અંગે પરિવારના સભ્યોને બોલાવ્યા. જેમાં આ ત્રણેય મૃતદેહ ખાંભલા પરિવારના જણાઈ આવતા મૃત્યુ અંગે ફરિયાદ નોંધી હતી. સ્નિફર ડોગ બેડ અને સેટી પલંગ પાસે ગયોત્યાર બાદ ડોગ સ્કવોડ બોલાવી, જેથી ડોગ શૈલેશના ઘરની આજુબાજુ તથા દિવાલની આજુબાજુ અને ઘરના હોલમાં રહેલા સોફા પાસે, બેડરૂમમાં રહેલા સેટી પલંગ પાસે ગયો. ત્યારબાદ ત્રણેય લાશનો કબ્જો સંભાળી સર ટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી. પોસ્ટમોર્ટમ બાદ રાત્રે જ અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા ખાડામાંથી મૃતદેહ મળી આવતા શૈલેષ ખાંભલા વિરુદ્ધ પરિવારના સભ્યોની હત્યા તેમજ પુરાવાનું નાશ કરવા બાબતે અને પોલીસને ગેરમાર્ગે દોરવવા બાબતનો ગુનો દાખલ કરી હત્યા અંગેના કારણ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે શૈલેષે એસપીને કહ્યું કે, તમે હોલ્ડ કરી દો, હું અત્યારે મારા લેવલે ટ્રાય કરું છુંઆ મામલે ભાવનગર એસપી નિતેશ પાંડેએ જણાવ્યું કે, એનો જે મેઇન મોટીવ હતો કે એ એવી રીતે છે કે તેની અને પત્ની બંને વચ્ચે ઘરકંકાસ હતો. પત્નીનો આગ્રહ હતો કે તે પતિ સાથે રહે અને પતિનું કહેવું હતું કે સાસરી પક્ષ સાથે સુરતમાં રહે. એમાં છેલ્લા ઘણા દિવસથી ઘરકંકાસ ચાલતો હતો અને એટલા માટે ત્રણેયના મર્ડર કર્યા હતા. અગાઉ શૈલેષ ખાંભલા મને મળવા આવ્યા હતા મને પણ પહેલી વખત લાગ્યું કે પોતે કોઈ રેફરન્સથી મારી પાસે આવે છે પછી અમે કીધું કે અમે બેસ્ટ મહેનત તમારા માટે કરીશું અમારી બેસ્ટ ટીમ લગાડીશું તો એને કીધું કે અત્યારે તમે રહેવા દો હોલ્ડ કરો હું અત્યારે મારા લેવલે ટ્રાય કરું છું અને બે ત્રણ દિવસ પછી મને લાગશે તો મદદની જરૂર છે તો આપને કોન્ટેક્ટ કરીશ પણ એના આગળથી ના મારા ઉપર કે ના મારા અધિકારી પર કોઈ કોલ ના આવ્યો. છેલ્લા 4-5 દિવસથી સુરત હતો. 5-6ની રાત તે પોતાની ઘરે નહોતો રોકાયો અને તે આજુબાજુમાં ફરતો હતો. તેને બિલકુલ અફસોસ નથી, તે માત્ર નાટક કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

'મતદાર યાદીમાં નામ નહીં મળે તો બાંગ્લાદેશીઓની જેમ કાઢી મૂકશે?':ભાસ્કરે BLO સાથે ઘરે-ઘરે ફરી મતદારોની મૂંઝવણ જાણી, લોકોએ કહ્યું-પહેલાં તો CAA-NRC જેવું લાગ્યું

મને એમ હતું કે આ લોકો મને પાકિસ્તાન મોકલી દેશે તો?.... મારું ઘર અને મિલકત પણ જતી રહેશે.... લોકો કહે છે કે જો તમારા ડોક્યુમેન્ટ નહીં મળે તો તમને અહીં નહીં રાખે એટલે હું નોકરી પર રજા રાખીને તમને મળવા આવી છું.... આ કેટલાક એવા વાક્યો છે જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની પ્રક્રિયા દરમિયાન BLOને સાંભળવા મળ્યા. બિહાર પછી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમારા ઘરે પણ BLO આવ્યા હશે અને ભરવા માટે ફોર્મ આપ્યું હશે. ફોર્મ ભરવા દરમિયાન મતદારને જો કોઇ મૂંઝવણ થાય તો BLO તેને મદદ કરે છે. લોકોના મનમાં કેવા-કેવા પ્રશ્નો આવે છે, BLO કેવી રીતે તેનું નિરાકરણ લાવે છે તે જાણવા ભાસ્કરે BLO સાથે એક દિવસ રહીને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવાનું નક્કી કર્યું. અમે આ માટે વિરમગામ વિધાનસભા મત વિસ્તારના અલબદર વિસ્તારના BLO સાથે રહ્યાં અને તેમની સાથે મતદારોના ઘરે-ઘરે ફર્યા. ઉપરાંત કેમ્પની પણ મુલાકાત લીધી હતી. મોહસીન વેપારી આ વિસ્તારના BLO છે. તેમણે ભાસ્કરની ટીમ સાથે રહી આખી કામગીરી બતાવી હતી. BLO સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી કામ કરે છેSIRની પ્રક્રિયા શરૂ થઇ તે પહેલાં BLOને પણ ટેન્શન હતું. આ વાતને યાદ કરતાં મોહસીન વેપારીએ કહ્યું કે, BLO તરીકે આ કામ સોંપવામાં આવ્યું ત્યારે અમને ખુદને મગજમાં ટેન્શન અને ઘણું બધું કન્ફ્યૂઝન હતું. ચિંતા એ હતી કે આ કામ કેવી રીતે પાર પાડીશું. અમને મામલતદાર ઓફિસમાં મિટિંગ કરીને અમારા કામ વિશે ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં જ્યાં સુધી પ્રેક્ટિકલ રીતે કામ શરૂ ન થયું ત્યાં સુધી ચેન ન પડ્યું. જાણી લો... મતદારયાદીમાં નામ રાખવાનું ફોર્મ કેવી રીતે ભરશો, અહીં ક્લિક કરો પોતાના કામગીરીના સમય અંગે વાત કરતા તેઓ કહે છે કે, આ કામ શરૂ થયું ત્યારથી સવારે 9 વાગ્યાથી હું ઘરેથી નીકળી જઉં છું. હું આ જ વિસ્તારનો રહેવાસી છું એટલે લોકો મને ઓળખે છે એટલે સમયની મર્યાદા જેવું કંઇ નથી. લોકો રાત્રે 12 વાગ્યા સુધી મને પ્રશ્નો પૂછતા હોય છે. કોઇપણ વ્યક્તિને કોઇ જાતની તકલીફ પડે તો ફોન કરીને પણ અમારો સંપર્ક કરે છે. નજીકના વિસ્તારોમાં સૌથી મોટો વિસ્તાર મારો છે. મારી પાસે 1366 મતદારોની જવાબદારી છે. મતદાર 3-4 જગ્યાના નામ આપે તો એ બધી યાદીમાં શોધવું પડેપોતાના કામકાજમાં કેવી કેવી તકલીફો પડે છે તેનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે, મારા વિસ્તારમાં નૂરી સોસાયટી આવેલી છે. 2002માં આ સોસાયટીનું અસ્તિત્વ જ નહોતું, એ સમયે ત્યાં ફક્ત 100 લોકો જ રહેતા હતા. 2002ના તોફાન પછી ત્યાં અનેક લોકો આવીને વસ્યા છે. અત્યારે 2002ની મતદાર યાદીમાં તેમના નામ શોધવામાં ખૂબ તકલીફ પડી રહી છે પરંતુ આ વિસ્તારના 2-2 વિભાગમાં હું રોજ જઉં છું. 'જે લોકોને યાદ હોય છે કે તેઓ 2002માં ક્યાં રહેતા હતા તેમનું નામ તે જગ્યાએથી શોધી લઇએ છીએ. કેટલાક લોકોને ચોક્કસ યાદ નથી હોતું તો તેઓ જે 3-4 જગ્યાના નામ લે એ બધા વિસ્તારની યાદીમાં તેમનું નામ શોધવું પડે છે. આ કામમાં થોડી સરળતા રહે તે માટે મામલતદાર કચેરીમાંથી અમને એક્સેલ ફાઇલ પણ આપવામાં આવી છે. જેમાં આખા વિરમગામની યાદી છે. તેમાંથી પણ અમે નામ શોધી આપીએ છીએ.' લોકોને બાંગ્લાદેશીઓની જેમ મોકલી દેવાનો ડરલોકો તરફથી કેવા-કેવા પ્રકારના સવાલો સામે આવે છે તેના વિશે તેમણે કહ્યું કે, લોકોમાં ઘણો ડર છે. કેટલાય લોકોને ડર છે કે અમારું નામ વોટર લિસ્ટમાંથી જતું રહેશે. લોકો કહે છે કે પહેલા અમારું ચૂંટણી કાર્ડ રદ્દ કરશે પછી આધાર કાર્ડ રદ્દ કરશે અને પછી અમને બીજા કોઇ દેશમાં મોકલી દેશે. જે રીતે બાંગ્લાદેશીઓને મોકલી દીધા હતા. '2002ની મતદાર યાદીમાં નામમાં પણ કેટલીક ભૂલો છે.જેમ કે કોઇનું નામ સમીરા હોય તો 2002ની યાદીમાં તેનું નામ સમરૂં લખાયેલું હોય છે. આ કામગીરી અંગે તેમણે જણાવ્યું કે, આ વખતે જે BLO જ્યાંની સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ હોય તેવી વ્યક્તિને તે વિસ્તારની જવાબદારી આપવાનો પ્રયત્ન કર્યો છે જે સારી બાબત છે. આ વાતચીત બાદ અમે BLO સાથે આગળ વધ્યા અને લોકોના ઘરે જવાનું શરૂ કર્યું. મોહસીનભાઇએ લોકોને ફોર્મનું વિતરણ કરી દીધું હતું. હવે લોકોએ ફોર્મ ભરી દીધું હોય તો તે લેવા અને તેમને કોઇ મૂંઝવણ હોય તો તે દૂર કરવાની હતી. લોકોના ઘરની મુલાકાત દરમિયાન મોહસીનભાઇ અશ્ફાક નામના એક મતદારના ઘરે પહોંચ્યા. તેમણે ફોર્મમાં જરૂરી વિગતો ભરી દીધી હતી. પહેલાં CAA-NRC જેવું લાગ્યુંદિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અશ્ફાકે કહ્યું કે, પહેલાં મને આ CAA-NRC જેવું લાગતું હતું. મને થતું કે જો લોકો પોતાના ડોક્યુમેન્ટ નહીં આપી શકે તો તેને બીજા દેશમાં મોકલી દેવાશે. ફોર્મ ભર્યા પછી લાગ્યું કે એવું કંઇ નથી, આ પ્રક્રિયા એકદમ સરળ છે. આ પહેલાં પણ રાજ્યમાં આ પ્રક્રિયા થઇ ચૂકી છે. મેં SIRની પ્રક્રિયા અંગે ઓનલાઇન જાણ્યું હતું. તેઓ લોકોને કહે છે કે, આ પ્રક્રિયા એકદમ સરળ છે, જરાપણ ગભરાશો નહીં. 2002ની મતદાર યાદીમાં તમારું નામ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જો આવું થાય તો BLO તમને મદદ કરી તમારી સમસ્યા દૂર કરશે. આના પછી અમે આગળ વધ્યા અને BLO સાથે એક યુવા મતદારના ઘરે પહોંચ્યા. શીફા જાહિદહુસૈન નામના મતદારે પોતાનું અને આખા ઘરનું ફોર્મ ભરીને તૈયાર રાખ્યું હતું. યુવા મતદારે કહ્યું લોકોએ ગભરાવાની જરૂર નથીશીફા કહે છે કે, મારી ઉંમર 21 વર્ષ છે. હું અગાઉ મતદાન કરી ચૂકી છું. આ પ્રક્રિયા શરૂ થઇ ત્યારે ચિંતા હતી પરંતુ અહીંયા BLO તરીકે અમારા ભાઇ જેવા મોહસીનભાઇ છે એટલે અમને કોઇ તકલીફ ન પડી. અમારા BLO પૂરતી મદદ કરે છે. મને એ વાતનો ગર્વ છે કે હું ગુજરાતમાં રહું છું. ફોર્મ અંગે તેણે કહ્યું કે, આ ફોર્મ ખૂબ સરળ છે. લોકોને પણ કહીશ કે ગભરાવાની જરૂર નથી, આ કામ ખૂબ સરળ છે. તમે ફોર્મ ભરી BLOને સોંપી દો તમને કોઇ તકલીફ નહીં પડે. અહીંથી થોડે દૂર મસ્જિદ પાસે મહમ્મદભાઇ નામના સામાજિક અગ્રણીનું ઘર હતું. તેમનું ફોર્મ અધૂરું ભરાયેલું હતું. BLOએ મદદ કરીને તેમને ફોર્મ ભરી આપ્યું. 'લોકો પૂછે છે કે ભારતની બહાર મોકલી દેશે?'મહમ્મદભાઇ કહે છે કે, લોકો ખૂબ ગભરાય છે અને જાતજાતના સવાલો પૂછે છે. કેટલાક લોકો કહે છે કે જો અમે ફોર્મ નહીં ભરીએ તો સરકાર અમને ભારતની બહાર મોકલી દેશે. અમારો જન્મ તારીખનો દાખલો જ નથી તો અમે શું કરીશું? આવું પૂછે છે પણ દરેક પ્રશ્ન હલ થઇ જશે. તેઓ કહે છે કે, વિચિત્ર પ્રશ્નો લઇને મહિલાઓ વધારે આવે છે. બહારની જાત જાતની વાતો સાંભળ્યા પછી તેમને ડર હોય છે. ઘણી મહિલાઓ તો BLOના ઘરે પણ પહોંચી જાય છે. ફોર્મ ભરવા માટે નોકરી પર રજા રાખીઅમે મહમ્મદભાઇ સાથે વાતચીત કરતા હતા એટલામાં તો એક બહેન લોકોને પૂછતા પૂછતા BLO મોહસિનભાઇને શોધીને તેમની પાસે પહોંચી ગયા અને પોતાના ફોર્મ અંગેની મૂંઝવણ વિશે પૂછવા લાગ્યા. તસ્લીમ શેખ કહે છે કે, હું પહેલા અહીં રહેતી હતી. મારુ ચૂંટણી કાર્ડ અહીંનું છે એટલે લોકોએ કહ્યું કે તમારું ફોર્મ અહીં આવશે. લોકો કહે છે કે જો તમારા ડોક્યુમેન્ટ નહીં મળે તો તમને અહીંયા નહીં રાખે. આવી જાતજાતની વાતો કરે છે. આવા પ્રશ્ન હતા એટલે હું આજે મારા કામ પર રજા રાખીને તમને મળવા આવી છું. આના પછી ભાસ્કરની ટીમ BLO સાથે એક કેમ્પ પર પહોંચી. આ વિસ્તારના કેટલાક નગર સેવકો અને સ્થાનિક અગ્રણીઓએ સાથે મળી એક જગ્યા નક્કી કરી છે. જ્યાં સવારેના 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કોઇપણ મતદાર SIRની પ્રક્રિયાની કામગીરી માટે આવી શકે છે.અહીં મંડપ બાંધ્યો છે અને 2 મોટા ટેબલ નાખીને સ્વયંસેવકો તેમજ BLO અને તેના સુપરવાઇઝર પણ રહે છે. ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે ત્યાં પૂરજોશથી કામગીરી ચાલી રહી હતી. સ્વયંસેવકો લોકોની મદદ કરી રહ્યા હતા અને લોકો પણ ઉત્સાહપૂર્વક પોતાના પ્રશ્નો લઇને આવતા હતા. આસપાસના 9 BLOના સુપરવાઇઝર નિશાદ કુરેશી અહીં હાજર હતા. તેમણે ભાસ્કર સાથે વાત કરી હતી. 7-8 સ્થળો પર કેમ્પ ઊભા કરાયાનિશાદ કુરેશી કહે છે, વિરમગામનો આખો મુસ્લિમ વિસ્તાર મારા કાર્યક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવ્યો છે. SIR અંગે લોકોમાં જે ડર છે તેને દૂર કરવા માટે મુસ્લિમ વિસ્તારોમાં 7-8 જગ્યાએ આ રીતે કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. લોકોને ફોર્મ ભરવાથી માંડીને જૂની મતદાર યાદીમાં તેમનું નામ શોધવા સહિતની મદદ કરવામાં આવી રહી છે. તેઓ કહે છે કે, કેટલાક લોકો અભણ હોય છે, કેટલાકને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય છે. આવા લોકોને સ્વયંસેવકો ફોર્મ ભરી આપે છે. આ ઉપરાંત જો જૂની મતદાર યાદીમાં તેમનું નામ ન મળતું હોય, તેઓ પહેલા બીજા કોઇ વિસ્તારમાં રહેતા હોય તો તેમનું નામ મતદાર યાદીમાં શોધવામાં પણ મદદ કરવામાં આવે છે. અમે આ ટેન્ટની વ્યવસ્થા કરી સેવા આપતા અગ્રણીઓને પણ મળ્યા. ઇકબાલભાઇ વેપારી સામાજિક કાર્યકર છે. તેઓ કહે છે કે, અમે BLOની સાથે રહી આ પ્રક્રિયામાં તેમની મદદ કરી રહ્યાં છીએ. દરેક અધિકારીઓનો પણ અમને સારો સહકાર મળી રહ્યો છે. આ ફોર્મ ભરવામાં લોકોની મદદ કરવી એ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે. દરેક વિસ્તારના લોકોને આ રીતે મદદ કરવી જોઇએ. અમે કોઇપણ નાત-જાતના ભેદ વગર દરેકની મદદ કરીએ છીએ. અમે આગળ વધ્યા તો જોયું કે મતદારોની મદદ માટેના કેમ્પમાં બીજા એક BLO પૂર્વીબેન ગૌસ્વામી ટિફિનનો ડબ્બો લઇને જમી રહ્યા હતા. અમને જોઇ તેઓ ઊભા થઇ ગયા. તેઓ કેમ્પથી દૂર જઇને જમવાનો પણ સમય અલગથી નથી લેતા. સવારે ટિફિન લઇને આવે છે અને લોકોની મદદ કરતા કરતા વચ્ચે સમય કાઢી કેમ્પમાં જ જમી લે છે. પૂર્વીબહેન 221 વિભાગ અડ્ડાની મસ્જિદ વિસ્તારમાં BLO તરીકે ફરજ બજાવે છે. અમે તેમની સાથે પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે, દરરોજ અમને મળવા અનેક લોકો આવે છે. તેમનો એક જ પ્રશ્ન હોય છે કે મારું નામ મતદાર યાદીમાંથી નીકળી તો નહીં જાય ને. અમે તેમની પૂરતી મદદ કરીએ છીએ અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવીએ છીએ. વૃદ્ધાને પાકિસ્તાન મોકલી દેવાશે તેવો ડર લાગ્યોપૂર્વીબેન સાથેની વાતચીત બાદ ભાસ્કરની ટીમ કેમ્પમાં જ બેઠી અને લોકો કેવા-કેવા પ્રશ્નો લઇને આવે છે તે જાણ્યું. આ દરમિયાન એક અનોખો કિસ્સો જોવા મળ્યો. અહીંના એક વૃદ્ધ મહિલાને પોતાનું નામ નીકળી જશે તો પાકિસ્તાન મોકલી દેવાશે તેવો ડર હતો. જેથી ફોર્મ ન ભરાયું ત્યાં સુધી 2 દિવસ તેઓ જમ્યા પણ નહીં. અમે તેમની સાથે પણ વાતચીત કરી. તેમણે પોતાનું નામ હાઝરા મંડલી જણાવ્યું. તેઓ કહે છે કે, મને બહું ચિંતા હતી. મને એમ હતું કે આ લોકો મને પાકિસ્તાન મોકલી દેશે તો. મારું ઘર અને મિલકત પણ જતી રહેશે પણ મોહસીને ફોર્મ ભરી દીધું. હવે બધુ બરાબર છે. હું મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. હવે મને ચિંતા નથી. તેઓએ વાત પૂરી કરી અને જતા જતા BLOને કહેતા ગયા કે 'હું તને બહું દુઆઓ આપીશ…' આ રીતે BLO સાથે સમય વિતાવ્યા પછી લાગ્યું કે લોકોમાં ડર તો છે પરંતુ જાગૃતિ પણ ખૂબ છે. BLO અને સામાજિક કાર્યકરો સાથે મળીને રાત દિવસ જોયા વગર લોકો માટે કામ કરી રહ્યાં છે. જે મકાનો-સોસાયટી 2002 પછી અસ્તિત્વમાં આવ્યા છે ત્યાં રહેતા લોકોના નામ બીજા વિસ્તારોની યાદીમાં શોધવા પડે છે. જેમનું નામ 2002ની યાદીમાં નથી અને તેમના માતા પિતા હયાત નથી, તેમના કોઇ ડોક્યુમેન્ટ પણ નથી તેવા લોકો મૂંઝવણમાં છે. જો કે તેનો પણ ઉપાય તો છે. આ ઉપરાંત ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં અનેક લોકોએ આ પ્રક્રિયાને CAA-NRC જેવી સમજી લીધી છે. જ્યાં સુધી ફોર્મ ન ભરાય ત્યાં સુધી તેમને એમ હતું કે અમને બાંગ્લાદેશીઓની જેમ દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. જો કે BLO અને સામાજિક અગ્રણીઓ મળી આ લોકોને સમજાવી તેમની ગેરસમજણ દૂર કરી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

એક જ સોસાયટીના પરણિત પુરુષ અને મહિલા ગુમ થયા:બન્નેએ પોતાની હત્યા અને આત્મહત્યા બતાવવા પ્લાનિંગ કર્યું, અફેરની શંકાએ તપાસ કરતા સ્ફોટક ખુલાસા થયા

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત રાજકોટના એક એવા કેસની જેણે પોલીસને અઠવાડિયા સુધી ચકરાવે ચડાવી હતી. એક જ સોસાયટીમાં રહેતા એક પરણીત પુરુષ અને મહિલા ગુમ થઈ ગયા. બીજા દિવસે પોલીસને એક પુરુષની લાશ મળી જે ગુમ થયેલા યુવકની હોવાનું તેના જ પરિવારે સ્વીકાર્યું. પરિવારના લોકોએ લાશની અંતિમવિધિ પણ કરી નાખી. પરંતુ અઠવાડિયા બાદ આ જ યુવક અમૃતસરની એક હોટલમાંથી જીવતો ઝડપાયો. તો સવાલ એ હતો કે અંતિમ સંસ્કાર કર્યો એ લાશ કોની હતી અને એ જ સોસાયટીમાંથી ગુમ થયેલી મહિલાનું સસ્પેન્સ શું હતું? 2008માં જાન્યુઆરી મહિનાની હાડ થીજવતી ઠંડીનો માહોલ હતો. રાજકોટના રસ્તા રાતના સમયે એકદમ શાંત હતા. એકલ દોકલ લોકો રસ્તા પર દેખાતા હતા. આવા સમયે એક PCR વાન ધીમી ગતિએ અલગ-અલગ વિસ્તારમાં ફરી રહી હતી. સુમસાન માહોલમાં કોઈ ક્રાઇમ ન થઈ જાય એ હેતુથી પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. PCR વાન કોઠારિયા રોડ પર પહોંચી ત્યાં તો વાયરલેસ પર મેસેજ આવ્યો. પુરુષાર્થ સોસાયટીમાં વિસ્મિતા વોરા નામની પરિણીત મહિલા ઘરેથી ગુમ થઈ છે. કંટ્રોલરૂમમાં ફોન હતો, ઝડપથી ઘટનાસ્થળે પહોંચો અને તપાસ શરૂ કરો. PCR વાનમાં બેઠેલા પોલીસકર્મીએ તરત જવાબ આપ્યો. અમે નજીકમાં જ છીએ. થોડી જ વારમાં પહોંચીએ છીએ. કોઈ વધુ વિગતો હોય તો આપો. સામે વાત કરી રહેલા કંટ્રોલરૂમના કર્મચારીએ પોતાની પાસે જેટલી માહિતી હતી એ આપી અને વાયરલેસ પર વાત પૂરી થઈ. થોડી જ મિનિટોમાં પોલીસની વાન સાયરન વગાડતી પુરુષાર્થ સોસાયટીમાં પહોંચી ગઈ. બન્ને તરફ ટેર્નામેન્ટ અને વચ્ચે સોસાયટીનો પહોળો રસ્તો. રાતનો સમય હોવા છતાં ઘણા બધા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પરિવારના લોકો ચિંતામાં હતા કે આખરે વિસ્મિતા ક્યાં ગઈ હશે? વિસ્મિતાનો પતિ અને પરિવારના અન્ય સભ્યો ઘણા સગા-સંબંધીઓને ફોન લગાવીને વિસ્મિતા આવી છે કે કેમ? એ સવાલ પૂછી ચૂક્યા હતા. તમામ લોકોએ લગભગ એક સરખો જવાબ આપ્યો હતો કે ના… વિસ્મિતા અમારા ઘરે નથી આવી. આખરે કંઈક અજૂગતો બનાવ બની ગયો હોવાની આશંકાએ પરિવારે છેલ્લે પોલીસની મદદ લેવાનું વિચાર્યું હતું. રાજકોટની હુડકો પોલીસચોકીના કર્મચારીઓએ સૌથી પહેલા પરિવારના લોકોની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી. વિસ્મિતા ક્યાંની છે? લગ્ન ક્યારે થયા હતા? છેલ્લે તેણીને કોણે જોઈ હતી? ઘરમાં કોઈ ઝઘડો થયો હોય કે પછી મનભેદ હોય એવી ઘણી બધી વિગતો એકઠી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિસ્મિતા ગુમ થવા પાછળનું કોઈ નક્કર કારણ પોલીસને જે તે સમયે તો હાથ ન લાગ્યો. લગભગ 28 વર્ષની પરિણિતાનો સુખી સંસાર ચાલતો હોય તો એ ઘર છોડીને કેમ જાય? આ સવાલ પરિવાર અને પોલીસ બન્નેને પરેશાન કરી રહ્યો હતો. પોલીસ રાત્રે પરિવાર પાસેથી વિગતો મેળવીને પરત ફરી. બીજા દિવસે વિસ્મિતાની શોધખોળ માટેના પ્રયાસ શરૂ થઈ ચૂક્યા હતા. ત્યાં જ એક ચોંકાવનારા સમાચાર પોલીસ સુધી પહોંચ્યા. રાજકોટ પાસે આજી ડેમની પાળ પરથી કેટલોક સામાન મળ્યો. દુપટ્ટો, ચપ્પલ અને સુસાઇડ નોટ. કાગળ પર છેલ્લે વિસ્મિતાનું નામ લખ્યું હતું. એટલે ભક્તિનગર પોલીસની ટીમ આજી ડેમ પહોંચી. આ જ અરસામાં વિસ્મિતાના પરિવારજનો પણ આજી ડેમ દોડી ગયા. તમામ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. કારણ કે પરિવારના લોકોએ દુપટ્ટો અને ચપ્પલ જોતા જ કહી દીધું, આ તો વિસ્મિતાના ચપ્પલ અને દુપટ્ટો છે. સુસાઇડ નોટમાં લખેલા અક્ષર પણ વિસ્મિતાના જ હોવાનું પરિવારે કબૂલાત કરી. સુસાઇડ નોટમાં લખેલું હતું, હું જીવવા લાયક નથી. મારા પતિને માફ કરજો. જો કે સુસાઇડ નોટ વાંચ્યા પછી પણ વિસ્મિતાની જીંદગીમાં શું-શું ચાલતું હતું? જેના કારણે તેણે મરવું પડ્યું એ સ્પષ્ટ નહોતું થતું. પોલીસે તુરંત ફાયરબ્રિગેડની ટીમને બોલાવી ડેમમાં લાશની શોધખોળ શરૂ કરાવી દીધી. સુસાઇડ નોટ વાંચીને વિસ્મિતાનો પરિવાર અને એમાં પણ તેનો પતિ ચોંધાર આંસુએ રડી રહ્યો હતો. પણ આ હાવભાવ વચ્ચે પણ પીઆઈ એમ.વી.પરમારના મનમાં એક સવાલ ભમતો હતો, વિસ્મિતાએ આપઘાત કર્યો છે કે પછી તેની કોઈએ હત્યા કરી હશે? વિસ્મિતાની લાશ હજુ મળી ન હતી. પોલીસની એક ટીમ નવા એન્ગલથી પરિવારના લોકોની ફરી એકવાર પૂછપરછ કરવામાં લાગી ગઈ હતી. ત્યાં જ એક નવા સમાચારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ફરીથી દોડતા કરી દીધા. આ વખતે પણ ક્રાઇમના કેન્દ્રમાં વિસ્મિતા રહેતી હતી એ જ પરમેશ્વર સોસાયટી હતી. આ સોસાયટીમાં રહેતા વિમલ રામાણીની લાશ તેના કારખાનામાંથી મળી આવી હતી. વિમલની લાશને જોતા એટલું તો સ્પષ્ટ હતું કે તેણે આત્મહત્યા નથી કરી. પરંતુ કોઈકે આવીને વાયરથી ગળુ દબાવીને વિમલને મારી નાખ્યો હતો. ત્યાર બાદ કેરોસિન છાંટીને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માત્ર ચહેરો જ આગમાં બળી ગયો હતો. બાકીના ઘણા અંગે સળગ્યા ન હતા. લાશ સળગાવી દેવામાં આવી હોવાથી ચહેરો જોઈને તો ઓળખ થઇ શકે તેમ ન હતી. પરંતુ કપડા, બુટ પરથી હિરેન રામાણીએ મૃતદેહ તેના ભાઇ વિમલનો હોવાનું કહી દીધું. હવે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હત્યા કોણે અને શા માટે કરી ? એ જાણવા પીઆઇ એમ.વી.પરમાર અને ટીમે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. પોલીસ કારખાનાના એકેએક ખૂણે ફરી વળી. પરંતુ ચોરીના ઇરાદે હત્યા થઈ હોવાના કોઈ પુરાવા ન મળ્યા. કારખાનામાં કામ કરતા લોકોની પૂછપરછ કરી પરંતુ જ્યારે હત્યા થઈ ત્યારે રજાનો દિવસ હોવાથી કોઈએ હત્યારાને આવતો-જતો નહોતો જોયો. એટલું જ નહીં, રજાના દિવસે વિમલ રામાણી શા માટે કારખાને આવ્યો હતો? એ પણ પોલીસના મનમાં સવાલ હતો અને આ સવાલનો જવાબ વિમલના પરિવારના લોકો પાસે પણ ન હતો. પરિવારના લોકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે વિમલ રામાણીના એક મહિના પહેલા જ ધામધૂમથી લગ્ન થયા હતા. કોઈની સાથે દુશ્મનાવટ ન હતી. પરિવાર ઉપરાંત સોસાયટીમાં પણ તમામ લોકો સાથે સંબંધો સારા હતા અને કામધંધો પણ એવો હતો કે જેના કારણે કોઈની સાથે દુશ્મનાવટ ઉભા થવાની સંભાવના ન હતી. વિમલ એક જગ્યા ભાડુ રાખીને ત્યાં બંગડીનું કારખાનું ચલાવતો હતો. વિમલના ભાઈએ રડતાં-રડતાં પોલીસને કહ્યું, સાહેબ, મારો ભાઈ તો એક મહિના પહેલાં જ પરણ્યો હતો! કોણે આવું કર્યું? તેની પત્ની તો હજી ઘરે રડે છે! પીઆઈ પરમારે કહ્યું, ચિંતા ન કરો, અમે તપાસ કરીશું. હવે પોલીસ સામે એક જ સોસાયટીમાં બે-બે લોકોના ભેદી સંજોગોમાં મોતની તપાસ હતી. પ્રાથમિક ધોરણે વિમલની હત્યા અને વિસ્મિતાએ આત્મહત્યા કરી હોવાનું માનીને પોલીસે તપાસ આગળ વધારી. પોલીસે વિસ્મિતાના પતિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો. હજુ સુધી તેણીની લાશ નહોતી મળી. એટલે ઘણી શંકા-કુશંકા અને સવાલો હતા. વિસ્મિતાના લગ્ન પણ થોડા સમય પહેલાં જ થયા હતા. અચાનક પત્નીના મોતથી તેનો પતિ પણ આઘાતમાં હતો. પોલીસનું તેડું આવતા તે સવાલોનો જવાબ આપવા માટે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે એક બાદ એક સવાલોનો મારો શરૂ કર્યો. જવાબમાં વિસ્મિતાનો પતિ બોલ્યો, સાહેબ, મારી પત્ની આપઘાત કરી લીધો એ માનવામાં જ નથી આવતું? અમે તો ખુશ હતા. પોલીસકર્મીઓએ અત્યાર સુધી જેટલા પણ સવાલ કર્યા તેના જવાબ વિસ્મિતાના પતિએ સંતોષકારક રીતે આપ્યા. હવે પીઆઇ એમ.વી.પરમારે પૂછપરછની શરૂઆત કરી. પીઆઈ પરમારે તીક્ષ્ણ નજરે વિસ્મિતાના પતિ સામે જોઈને ગૂગલી જેવો સવાલ કર્યો, તમે જાણો છો કે વિસ્મિતા અને વિમલ વચ્ચે અફેર હતું? વિસ્મિતા પતિનો ચહેરો ફિક્કો પડી ગયો, પરંતુ તેણે શાંતિથી કહ્યું, ના… મને આવી કોઈ ખબર ન હતી. વિસ્મિતાનો પતિ સમજી ગયો કે અફેરની શંકામાં બન્ને લોકોની હત્યા થઈ હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને શંકાની સોય તેના તરફ છે. એટલે તેણે સામે ચાલીને કહી દીધું કે, સાહેબ, મારો ફોન ચેક કરી લો અને હું આ બનાવ બન્યો ત્યારે ક્યાં હતો એ લોકેશન પણ ચેક કરાવી લો. એટલે તમને સંતોષ થઈ જાય. વિસ્મિતાના પતિના અવાજમાં થોડો ગુસ્સો અને સાથે જ સત્ય હોવાનું સિનિયર પોલીસ અધિકારીને અનુભવથી ખ્યાલ આવી ગયો. એટલે તેને જવા દીધો. જો કે હજુ સુધી વિસ્મિતાની લાશ મળી ન હતી. વિસ્મિતા અને વિમલના ગુમ થવા પાછળનું કારણ પ્રેમપ્રકરણ જ હતું?વિસ્મિતાના કપડા મળ્યા પણ લાશ ન મળી, એની પાછળનું રહસ્ય શું હતું?જો બન્ને પ્રેમી હતા તો વિમલની હત્યા કોણે કરી? રાજકોટમાં 17 વર્ષ પહેલા ફિલ્મી સસ્પેન્સની માફત બનેલી આ ઘટનાનો બીજો અને અંતિમભાગ વાંચો આવતીકાલે સવારે 6 વાગ્યે

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

ધીરુભાઈ અંબાણીએ જૂનાગઢમાં ભજીયાંની લારી ચલાવી:મમ્મીએ ઠપકો આપતા સીંગતેલ વેચ્યું ને કહ્યું- 'તમે ચિંતા ના કરો, હું ઢગલામોંઢે રૂપિયા કમાઈશ', ત્રીજી પેઢી શું કરે છે?

એકવાર એક વ્યક્તિએ ધીરુભાઈને પૂછ્યું કે તમે જીવનમાં ક્યારેય ગીતા વાંચી છે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તે તો ગીતાના આદર્શોથી જીવન જીવે છે. અંબાણીનું નામ આજે ઘેર-ઘેર જાણીતું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નામ ભારતમાં જ નહીં, દુનિયા આખીમાં લોકપ્રિય છે. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર બિઝનેસમેન છે, પરંતુ તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ક્લાર્ક બનીને અથાગ પરિશ્રમથી આ મેગા અમ્પાયર ઊભું કર્યું છે. 'લક્ષાધિપતિ'ના આજના બીજા એપિસોડમાં આપણે. વાત કરીશું અંબાણી પરિવારની. ધીરુભાઈએ કેમ સ્મશાનમાં આખી રાત વિતાવી, આઇસક્રીમ માટે મધદરિયે પડતું મૂક્યું. અંબાણી પરિવારની ત્રીજી પેઢી કયા બિઝનેસ સંભાળે છે. અંબાણી પરિવારની બે દીકરીઓ શું કરે છે... શિવરાત્રિમાં ભજીયાંની લારી ચલાવીઆઝાદી પહેલાં જૂનાગઢ સ્ટેટના ચોરવાડમાં શિક્ષક હીરાચંદ અંબાણીને ત્યાં 28 ડિસેમ્બર, 1932ના રોજ ધીરજલાલ (ધીરુભાઈ) અંબાણીનો જન્મ થયો. પરિવારમાં ધીરુભાઈ પાંચમું સંતાન હતા. પિતા શિક્ષક તો માતા જમનાબહેન ઘર સંભાળતાં. શિક્ષક પરિવાર એટલે પૈસા એટલા બધા પણ નહોતા. ધીરુભાઈમાં નાનપણથી જ વેપારની કુનેહ રહેલી હતી. એકવાર જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ભરાયો તો ધીરુભાઈએ મિત્રો સાથે મળીને મેળામાં ભજીયાંની લારી લગાવી હતી અને તેમાંથી પૈસા કમાયા હતા. ગામડું હોવાથી પાણીની સમસ્યા તો અવારનવાર રહેતી તો ધીરુભાઈ ધોમધખતા તાપમાં ત્રણ કિમી પગપાળા ચાલીને પીવાનું પાણી ઘર માટે ભરીને લાવતા. માતાએ ઠપકો આપ્યોએકવાર માતાએ ધીરુભાઈ ને મોટા દીકરાને એમ કહ્યું કે જુવાન હોવા છતાં તેઓ પરિવારમાં બે પૈસા કમાઈને ઘર ચલાવવામાં સહેજ પણ મદદ કરતા નથી. આ વાત ધીરુભાઈને લાગી આવતાં તેઓ સ્થાનિક વેપારી પાસેથી સીંગતેલનો ડબ્બો લઈ આવ્યા ને પછી તેમણે છૂટક વેચાણ કરીને કમાણીના પૈસા માતાને આપતાં કહ્યું હતું, 'જોયું ને.. પૈસા કમાવવા તો કેટલા સહેલા છે. તમે ચિંતા ના કરો. હું ઢગલામોંઢે રૂપિયા કમાવાનો છું.' બોર્ડિંગ સ્કૂલમાં માત્ર બે જોડી કપડાં સાથે ગયાધીરુભાઈ વધુ અભ્યાસ માટે બોર્ડિંગ સ્કૂલમાં ગયા. ત્યાં તેઓ માત્ર બે જોડી કપડાં લઈને ગયા. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ધીરુભાઈને નાનપણથી જ કપડાંનો ઘણો જ શોખ હતો. તેઓ રોજ રાત્રે કપડાં વ્યવસ્થિત વાળીને ગાદલાંની નીચે મૂકતા, જેથી કપડાં ઇસ્ત્રી કરેલાં જેવાં લાગે. ગોળપાપડી આજીવન ફેવરિટ રહીગોળપાપડી (સુખડી) ધીરુભાઈની આજીવન ફેવરિટ હતી. જ્યારે તેઓ 14-15 વર્ષના હતા ત્યારે હોસ્ટેલમાં રહીને ભણતા. હોસ્ટેલમાં અપાતી ગોળપાપડી ટેસ્ટમાં સહેજ પણ સારી નહોતી. ધીરુભાઈએ આ અંગે અનેક ફરિયાદો કરી, પરંતુ કોઈ સુધારો આવ્યો નહીં. અંતે ધીરુભાઈએ મિત્રો સાથે રાત્રે રસોડામાં જઈને જાતે જ ગોળપાપડી બનાવીને ખાવાની શરૂઆત કરી. એકવાર પકડાઈ જતાં બધાને ઠપકો મળ્યો. ધીરુભાઈએ તે ઉંમરે એવો જવાબ આપ્યો કે તમારાથી હોસ્ટેલની મેસ સંભાળાતી ના હોય તો અમને આપી દો અને તેમણે એક આખું વર્ષ હોસ્ટેલની મેસ સંભાળી બતાવી. સ્કૂલમાં હડતાળ પાડીધીરુભાઈના સ્કૂલ સમયનો એક કિસ્સો છે, જૂનાગઢ શિક્ષણ વિભાગે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે સ્કૂલને ગ્રેડ આપવાનું નક્કી કર્યું. આ રીતે સ્કૂલો પર વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભરવાનું દબાણ વધ્યું. આ અન્યાયી નિયમ સામે વિદ્યાર્થીઓએ હડતાળ પાડવાનું નક્કી કર્યું. હડતાળ પડે નહીં તે માટે શિક્ષણ વિભાગના અધિકારીઓએ ધીરુભાઈ તથા અન્ય વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. અન્ય વિદ્યાર્થી પીછેહઠ કરવા તૈયાર થઈ ગયા, પરંતુ ધીરુભાઈ મક્કમ રહ્યા ને તે દિવસે એક પણ પ્રાથમિક શાળા ખૂલી નહીં. ગાંધીજી-સરદાર પટેલની અસર ધીરુભાઈ પર પડીભારતને આઝાદી મળી ત્યારે 1947માં ધીરુભાઈની ઉંમર 15 વર્ષની હતી. તેઓ જૂનાગઢની બહાદુરખાનજી હાઇસ્કૂલ (આજની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ)માં ભણતા ને તેમની જ્ઞાતિની મોઢ વણિકની બોર્ડિંગમાં રહેતા. ભારતને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલનો પણ મહત્ત્વનું યોગદાન છે અને બંને ગુજરાતી હતા. આ બંનેની અસર ધીરુભાઈ પર પણ પડી હતી. બોર્ડિંગમાં રહીને તેમણે જૂનાગઢ વિદ્યાર્થી સમિતિની રચના કરી. આ સમિતિના ધીરુભાઈ મંત્રી હતા. ગાંધીજીના જન્મદિને તેઓ જૂનાગઢની લાઇબ્રેરી આગળ દીવા પ્રગટાવે. ધીરુભાઈ રાત્રે મિત્રો સાથે જૂનાગઢની દીવાલો પર આઝાદી માટેનાં સૂત્રો ને ચિત્રો દોરતા. શર્ટની અંદર ‘જન્મભૂમિ’ ને ‘નવજીવન’ જેવાં અંગ્રેજોએ બૅન મૂકેલાં અખબારોનું વિતરણ કરતા. 1946માં ધીરુભાઈને ખબર પડી કે કનૈયાલાલ મુનશી જૂનાગઢ આવવાના છે. બોર્ડિંગમાં ભણતા વિદ્યાર્થીઓએ કનૈયાલાલ મુનશીનું ભાષણ યોજવાનું નક્કી કર્યું. જૂનાગઢમાં તે સમયે નવાબનું રાજ હતું. નવાબની પોલીસે ધીરુભાઈ ને વિદ્યાર્થી મંડળને ધમકી આપતાં કહ્યું કે મુનશી સાહિત્ય સિવાય રાજકારણ કે આઝાદી અંગે વાત કરશે તો સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. આ સમયે ધીરુભાઈએ કહ્યું, 'જુઓ, આપણે તો એક સાહિત્યકારને બોલાવ્યા છે અને હવે તે બીજી કોઈ વાત કરે તો મામલો તેમની ને પોલીસ વચ્ચેનો છે. આપણે તેમાં કોઈ રીતે જવાબદાર નથી.' રાજકારણમાં જવાની ઈચ્છા હતીમુનશીએ ભાષણ પણ આપ્યું અને આઝાદી અંગે વાત પણ કરી હતી. 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો. જૂનાગઢમાં નવાબે ફરમાન બહાર પાડ્યું કે કોઈએ ધ્વજવંદન કે પ્રભાતફેરી કાઢવી નહીં. ધીરુભાઈએ ડર્યા વગર જૂનાગઢમાં પહેલો ધ્વજ ફરકાવ્યો હતો અને ભાષણ પણ આપ્યું હતું. તેમને પકડીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યા, પરંતુ કિશોર હોવાને કારણે પોલીસે તેમને જવા દીધા. મોડી રાત્રે જ્યારે ધીરુભાઈ બોર્ડિંગ આવ્યા તો તેમનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું. સ્વાતંત્ર્યની લડાઈમાં સક્રિય રહેવાને કારણે એક સમયે ધીરુભાઈ રાજકારણમાં જવા તૈયાર થઈ ગયા હતા. જોકે, પછી તેઓ આગળ વધ્યા નહીં. પેસેન્જર જહાજમાં ટિકિટ ના મળી તો કાર્ગોમાં ગયાધીરુભાઈના મોટાભાઈ રમણિક ભાઈ એડનમાં એ. બીઝ એન્ડ કંપનીમાં નોકરી કરતા. આ કંપનીના બોસ વેકેશનમાં ગુજરાત આવ્યા હતા અને તેમણે ધીરુભાઈનો ઇન્ટરવ્યૂ લીધો હતો ને તેઓ સિલેક્ટ થઈ ગયા. ધીરુભાઈએ 1950માં પહેલી જૂન સુધી ત્યાં પહોંચવું જરૂરી હતું, કારણ કે પછી ઇમિગ્રેશનના નિયમો કંઈક બદલાઈ જતા હતા. મેટ્રિકની એક્ઝામ આપે માંડ મહિનો થયો. તેમણે ઝડપથી પાસપોર્ટ કઢાવ્યો અને પછી એડન જતા જહાજની ટિકિટ બુક કરાવવાનું નક્કી કર્યું, પરંતુ એક પણ પેસેન્જર જહાજમાં ટિકિટ મળી નહીં. અંતે, ધીરુભાઈએ ઈટાલિયન કાર્ગો જહાજ કોબોટોમાં બેસીને એડન જવાનું નક્કી કર્યું. દરિયાઈ મુસાફરીમાં ઘણીવાર દરિયો તોફાને ચઢ્યો. તેઓ ડેક પર બેસીને એડન પહોંચ્યા. અંગ્રેજી શીખી ગયા18 વર્ષની ઉંમરે ધીરુભાઈ એડન તો પહોંચી ગયા, પરંતુ તેમને અંગ્રેજી આવડતું નહોતું. શરૂઆતમાં એ. બીઝ એન્ડ કંપનીમાં ધીરુભાઈ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતા. થોડા સમય બાદ જ પ્રમોશન આપીને શેલ ફિલિંગ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા. અંગ્રેજી વગર અજાણ્યા દેશમાં નોકરી કરવી રમત વાત નહોતી, પરંતુ ધીરુભાઈ આખો દિવસ નોકરી કરે અને રાત્રે અંગ્રેજી સાહિત્ય વાંચે. તેઓ હંમેશાં પોતાની સાથે નાની ડિક્શનરી રાખતા. તેઓ આ રીતે ધીમે ધીમે અંગ્રેજી ટ્રેડ મેગેઝિન વાંચવા લાગ્યા ને તેમાંથી તેમને આયાત-નિકાસમાં રસ પડવા લાગ્યો તો તેમણે આયાત-નિકાસના નિયમો માટે જાણીતી ‘ધ રેડ બુક’નો બરોબર અભ્યાસ કરી લીધો. બપોરે લંચના સમયે ધીરુભાઈ એડનના માર્કેટમાં ફરતા અને ખરીદનાર-વેચનાર વચ્ચે થતાં સોદાઓ જોતા અને તેમાંથી અનુભવ મેળવ્યો. રાત્રિશાળામાં ભણ્યાધીરુભાઈ માત્ર મેટ્રિક ભણીને એડન આવી ગયા. આ જ કારણે ત્યાં તેઓ રાત્રિ શાળામાં જઈને નામું, બુક કીપિંગ તથા ટ્રેડના કાયદાઓ, ટાઇપિંગ શીખ્યા. નામાનું પ્રેક્ટિકલ નોલેજ મેળવવા તેઓ એડનમાં નાની કંપની માધવદાસ માણેકચંદમાં ટ્રેઇની તરીકે જોડાયા ને ત્યાં છ મહિના વગર પગારે કામ કર્યું. એડન સાત વર્ષ રહ્યા. 1955માં કોકિલાબેન સાથે લગ્ન કર્યાં ને તેમને પણ એડન લઈ ગયા. ડિસેમ્બર, 1957માં પત્ની ને બાળકો સાથે ભારત પરત ફર્યા. આ સમયે મોટો દીકરો મુકેશ નવ મહિનાનો હતો. મુંબઈમાં 1959માં બીજા દીકરા અનિલનો જન્મ થયો. 1961માં દીકરી દીપ્તિ ને 1962માં દીકરી નીનાનો જન્મ થયો. પડકારો લેવામાં ક્યારેય પાછા પડતા નહોતાધીરુભાઈને નિકટથી જાણતા લોકોને ખ્યાલ છે કે તેમને એકવાર પડકાર ફેંકવામાં આવે તો તે ક્યારેય પાછી પાની કરે નહીં. નાનપણમાં તેઓ ભૂતથી ગભરાતા નથી તે વાત સાબિત કરવા આખી રાત સ્મશાનમાં પસાર કરી હતી. ગીરના જંગલમાં પોતાના ગમતા સિંહ પાછળ ફરતા. આટલું જ નહીં પાછલી ઉંમરે તેઓ ખંડાલાથી પૂણે સુધી ચાલતા જતા ને પાછા આવતા. એડનના દરિયામાં ઘણીવાર શાર્ક આવી જતી એકવાર ધીરુભાઈ મિત્રો સાથે બોટમાં પાર્ટી કરતાં કરતાં મધદરિયે પહોંચી ગયા હતા. આ સમયે એક મિત્રે શરત લગાવી કે જે કિનારે જઈને પાછા આવે તેને આઇસક્રીમનો મોટો બાઉલ મળશે. વાત પૂરી થાય તે પહેલાં તો ધીરુભાઈ એક મિત્ર સાથે પાણીમાં કૂદી ગયા ને થોડીવારમાં તો આવી પણ ગયા. યાર્ન બજારમાં ઝંપલાવ્યુંધીરુભાઈએ ભારત આવીને થોડાં વર્ષો મરી મસાલા બજારમાં કામ કર્યું. મુંબઈના ભૂલેશ્વરમાં મરી-મસાલાની ઓફિસની બાજુમાં જ યાર્ન માર્કેટ હતું. તેમને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે યાર્ન માર્કેટમાં પૈસા બનાવવાની તક છે. તેઓ આ અંગે કંઈ જાણતા નહોતા તો તેમણે યાર્ન માર્કેટમાં રોજ એક ચક્કર મારવાની શરૂઆત કરી. તેમને ખ્યાલ આવી ગયો કે યાર્નની ક્યારે આયાત કરવી ને ક્યારે વેચાણ કરવું. યાર્ન માર્કેટમાં રોકાણ વધુ જોઈએ, પરંતુ ધીરુભાઈ પાસે એવા કોઈ પૈસા નહીં છતાં યાર્ન માર્કેટમાં ઝંપલાવ્યું. માત્ર એક રૂમ ને એક માણસ સાથે શરૂ કરેલી તેમની કંપનીનું નામ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન. તે સમયે નાના-નાના વેપારીઓ એકબીજા પાસે લોન લેતા. આ ઉપરાંત ગુજરાતી બિલ્ડરો પાસે પૈસા વધારે એટલે તેઓ ઊંચા વ્યાજે પૈસા આપતા. ધીરુભાઈએ વેપારીઓ પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું અને જ્યારે સોદો મોટો થાય તો વ્યાજ ઉપરાંત તેઓ થોડું બોનસ પણ આપતા અને આ જ કારણે રોજ સાંજે ધીરુભાઈની ઓફિસની બહાર બિલ્ડર્સ ને વેપારીઓ પૈસાની થોકડી લઈને લાઈન લગાવતા. ધીરુભાઈ ટૂંક સમયમાં જ યાર્નના બિઝનેસમાં સફળ થયા. 1962ના યુદ્ધમાં ફટકો પડ્યો1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ થતાં યાર્નના ભાવ એકદમ જ ગગડી ગયા. માર્કેટમાં એવી વાતો વહેતી થઈ કે ધીરુભાઈ ખોટ ખાઈને માલ વેચી રહ્યા છે. આ જ કારણે ધીરુભાઈએ નાણાં ધીરતાં લોકોમાં સન્નાટો છવાઈ ગયો. ધીરુભાઈ અફવાથી ડરવાને બદલે તેમણે ઓફિસમાં જાહેરાત લગાવી કે રિલાયન્સને જેણે પણ નાણાં આપ્યા હોય તેમણે તરત જ પૈસા પરત લઈ જવા અને તેમને તેમની પસંદગીની રૂપિયાની નોટમાં પૈસા પરત મળશે. બધાને એવું હતું કે પૈસા પરત લેવા માટે રિલાયન્સની બહાર લાઇન લાગશે, પરંતુ ગણ્યા ગાંઠ્યા જ લોકો પૈસા લેવા આવ્યા. ધીરુભાઈ યાર્ન માર્કેટમાં છવાઈ ગયા. 1964માં તેઓ બોમ્બે યાર્ન મર્ચન્ટ્સ એસિસોયેશન એન્ડ એક્સચેન્જ લિમિટેડના ડિરેક્ટર બન્યા. નરોડામાં નવું સાહસ કર્યું1966માં ભારતમાં રૂપિયાનું સતત અવમૂલ્યન થયું. આ જ કારણે યાર્ન માર્કેટની સ્થિતિ કથળવા લાગી. ધીરુભાઈએ તરત જ અન્ય બિઝનેસમાં જવાનું નક્કી કર્યું. તેમણે સિન્થેટિક કાપડનો પ્રોજેક્ટમાં જવાનું વિચાર્યું તેમણે અમદાવાદના નરોડા વિસ્તારમાં પહેલી મિલ શરૂ કરવાનું નક્કી કર્યું. તે સમયે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું. અમદાવાદમાં સુતરાઉ કાપડ બનતું છતાં ધીરુભાઈએ સિન્થેટિક કાપડ બનાવવાનું જોખમ લીધું. ધીરુભાઈએ સાત માણસોથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી, જેમાંથી એક જ ટેક્સટાઇલ એન્જિનિયર હતો. ધીરુભાઈએ નરોડામાં જે પણ મશીનરી ખરીદતા તો તાલીમ લેવા માટે માણસોને વિદેશ જ મોકલી દેતા. સિન્થેટિક કાપડની ડિઝાઇન માટે ધીરુભાઈએ ટોચના બે ડિઝાઇનર રાખ્યા અને તેની નીચે 300 ડિઝાઇનર તૈયાર કરીને તે વખતે એશિયાનો સૌથી મોટો ડિઝાઇન સ્ટુડિયો બનાવ્યો, જેમાં દર મહિને 500 ડિઝાઇન તૈયાર થતી અને તેમાં ચાર રંગ રહેતા. આ રીતે મહિને 2000 ડિઝાઇન થવા લાગી. ધીરુભાઈએ ‘વિમલ’ બ્રાન્ડનેમથી સિન્થેટિક સાડી ને કાપડ વેચવાનું શરૂ કર્યું. રિટેલર્સ પાસે જાતે ગયાહોલસેલર્સે સાડી ને કાપડ લેવાની ના પાડી ત્યારે ધીરુભાઈએ રિટેલર્સ પાસે જવાનું નક્કી કર્યું. તેઓ તેમની ટીમ સાથે જાતે જ કાપડના તાકા લઈને દુકાને દુકાને ફરતા. આ રીતે હોલસેલરનો છેદ ઉડાવીને માલ સીધો રિટેલર્સને વેચવાનું શરૂ કર્યું. ગ્રાહકો માટે આ તદ્દન નવું કાપડ હતું તો તેમને ઘણું જ પસંદ આવ્યું. આટલું જ નહીં, હિંદી સિનેમામાં પણ આ કાપડનો વપરાશ વધ્યો. મિલ શરૂ કરે માત્ર નવ વર્ષમાં ધીરુભાઈની મિલને બેસ્ટ મિલનું સર્ટિફિકેટ મળ્યું. વિમલ બ્રાન્ડ માટે ધીરુભાઈએ દેશભરમાં ફેશન શો કર્યાવિમલ બ્રાન્ડ લોકોમાં જાણીતી બને તે માટે ધીરુભાઈએ ફેશન શો ને રોડ શોનું આયોજન કર્યું હતું. વિમલના ફેશન શો દેશભરમાં પ્રખ્યાત થયા હતા. 70ના દાયકામાં બેંગ્લોર (આજનું બેંગલુરુ)માં વિમલનો શોરૂમ શરૂ કરવાનો હતો. આ સમયે ધીરુભાઈએ હેલિકોપ્ટરથી ગુલાબની પાંખડીઓનો વરસાદ કર્યો હતો. ઓન્લી વિમલધીરુભાઈ લોકોના મનમાં વિમલ બ્રાન્ડ છવાઈ જાય તે માટે તેમણે અલગ જ રીતે જાહેરાત બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. 1977માં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું બજેટ 10 કરોડ રૂપિયા હતું અને એક બ્રાન્ડનું એવરેજ બજેટ 40-50 લાખ રૂપિયા હોય તે સમયે વિમલ પાછળ ધીરુભાઈએ ત્રણેક કરોડ રૂપિયા માત્ર જાહેરાત માટે ખર્ચ્યા હતા. ‘ઓન્લી વિમલ’ના સ્લોગનથી આ બ્રાન્ડ અન્ય કરતાં ક્યાંય આગળ નીકળી ગઈ. 2 કરોડના ફંડ માટે આઇપીઓ લાવ્યા1977માં મિલના વિસ્તરણ માટે ધીરુભાઈને બે કરોડ રૂપિયાની જરૂર હતી. બેંકે આટલી બધી લોન આપવાની ના પાડી દીધી. આ સમયે ધીરુભાઈએ મધ્યમવર્ગીય પરિવાર પાસેથી પૈસા લેવાનું નક્કી કર્યું. તે સમયમાં શેર માર્કેટ પર માત્ર પૈસાદાર ને એલિટ ક્લાસનો જ દબદબો હતો. મધ્યમ વર્ગ ક્યારેય શેર માર્કેટમાં પૈસા રોકતો નહીં. આ જ કારણે ધીરુભાઈએ રિલાયન્સનો આઇપીઓ બહાર પાડવાનું નક્કી કર્યું. આઇપીઓ આવે તેના મહિના પહેલા ધીરુભાઈની ટીમે અનેક રોડ શો કર્યા ને ધીરુભાઈએ પોતાની વાત મધ્યમ વર્ગને સમજાવી. રિલાયન્સનો ઇશ્યૂ જે દિવસે આવ્યો તે જ દિવસે ‘હિન્દુસ્તાન ડોર ઓલિવર’નો ઇશ્યૂ આવ્યો. છતાં ધીરુભાઈનો ઇશ્યૂ સાતગણો ભરાયો. નાના 59 હજાર રોકાણકારોએ ધીરુભાઈની કંપનીમાં નાણાં રોક્યા. 80ના દાયકામાં ધીરુભાઈએ વિમલ કાપડની જાહેરાતમાં ક્રિકેટર્સને લઈ આવ્યા. આ દેશ માટે તદ્દન નવું જ હતું. 1987માં ભારત-પાકિસ્તાને સાથે મળીને ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું. આ વર્લ્ડ કપને રિલાયન્સે સ્પોન્સર કર્યો અને તે રિલાયન્સ વર્લ્ડ કપ તરીકે લોકપ્રિય થયો. આનો સીધો ફાયદો રિલાયન્સને થયો. 1986માં લકવો થયોફેબ્રુઆરી, 1986માં ધીરુભાઈને લકવો થયો. ડૉક્ટરને તેઓ જલ્દીથી ઠીક થઈ જશે તેવી આશા નહોતી. કેલિફોર્નિયાના સાન ડિયેગોની હોસ્પિટલમાં ધીરુભાઈએ ફિઝિયોથેરપી દિવસમાં બેવાર શરૂ કરીને માત્ર અઠવાડિયામાં સાજા થઈ ગયા. 1988માં પેટ્રોકેમિકલ્સના બિઝનેસમાં ઝંપલાવ્યું1988માં ધીરુભાઈએ મહારાષ્ટ્રના પાતાળગંગામાં પીટીએ (પ્યોરિફાઇડ ટેરેપ્થેલિક એસિડ)નો પ્લાન્ટ નાખ્યો ને એ સાથે જ પેટ્રોકેમિકલ્સમાં રિલાયન્સનું નામ થયું. વર્ષ 2000માં કંપનીની વાર્ષિક સભામાં ધીરુભાઈએ જાહેરાત કરી કે તેઓ હવે તેલ ને ગેસના ક્ષેત્રમાં પ્રવેશ કરશે.1999માં રિલાયન્સે ગુજરાતના જામનગરમાં રિફાઇનરીની શરૂઆત કરી. રિલાયન્સને દેશના પશ્ચિમ તથા પૂર્વ કાંઠે 14 ઓફ શોર બ્લોક ફાળવવામાં આવ્યા. 2002માં રિલાયન્સને ગેસનો ભંડાર શોધવામાં સફળતા મળી. રિલાયન્સ આ ક્ષેત્રમાં ઘણું જ આગળ વધી રહ્યું છે. ટેલિકોમમાં ક્રાંતિવર્ષ 2000 સુધી મોબાઇલ ફોન ઘણા જ મોંઘા હતા. તે સમયે એક મિનિટ વાત કરવાનો ચાર્જ 16 રૂપિયા હતો. ધીરુભાઈને ટેલિકોમમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાયું ને 2002માં ‘રિલાયન્સ ઇન્ફોકોમ’ની સ્થાપના કરી. તે સમયે પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા હતી અને રિલાયન્સના ફોન કોલનો ચાર્જ 40 પૈસા હતો. રિલાયન્સે ટેલિકોમમાં એક ક્રાંતિ સર્જી દીધી. રિલાયન્સના સ્લોગન 'કર લો દુનિયા મુઠ્ઠી મેં..'એ મધ્યમ વર્ગીય પરિવારને મોબાઇલ ખરીદતો કરી દીધો. 24 જૂન, 2002માં ધીરુભાઈને સ્ટ્રોક આવ્યો અને તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. તેઓ એક અઠવાડિયાથી વધુ સમય કોમામાં રહ્યા. અનેક ડૉક્ટર્સે તેમને બચાવવા ભરપૂર પ્રયાસ કર્યા. પરંતુ 69 વર્ષની ઉંમરે 6 જુલાઈ, 2002માં અવસાન થયું. ધીરુભાઈએ પોતાની સંપત્તિની વહેંચણી અંગે કોઈ વસિયત લખી નહોતી અને તેમના અવસાનના થોડા સમય બાદ જ બંને ભાઈઓ અનિલ ને મુકેશ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. અંતે, 2005માં માતા કોકિલાબેનની દરમિયાનગીરીથી રિલાયન્સના બે હિસ્સા પાડવામાં આવ્યા, જેમાં મુકેશ અંબાણીના હિસ્સે જામનગર રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ, તેલ-ગેસ તથા ટેક્સટાઇલ બિઝનેસ આવ્યા, જ્યારે અનિલ અંબાણીને રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર, ફાઇનાન્સિયલ સર્વિસ તથા એન્ટરટેઇનમેન્ટ તથા ટેલિકોમ બિઝનેસ આવ્યા. વાત હવે, ધીરુભાઈ અંબાણીનાં ચારેય સંતાનોની....મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ, 1957માં એડનમાં થયો. 1958માં પરિવાર મુંબઈના ભૂલેશ્વરમાં બે બેડરૂમના અપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યો. ત્યારબાદ તેઓ કોલાબાના 14 માળના ‘સી વિન્ડ’માં રહેવા લાગ્યા. મુકેશ અંબાણીએ ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાંથી પ્રાથમિક ને હાઇસ્કૂલનો અભ્યાસ મુંબઈની ‘હિલ ગ્રેન્જ હાઇ સ્કૂલ’માં ભણ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજીમાંથી બી.ઈ. ઇન કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. 1980માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, પરંતુ પિતાને રિલાયન્સમાં સપોર્ટ કરવા અધવચ્ચે ભણવાનું છોડી દીધું. અંબાણી પોતાના ટીચર્સ વિલિયમ એફ તથા મનમોહન શર્માને ઘણા જ માનતા હતા, કારણ કે તેઓ હંમેશાં આઉટ ઑફ ધ બોક્સ વિચારવા પર ભાર મૂકતા. પિતા ધીરુભાઈએ મુકેશ અંબાણી 24 વર્ષના હતા ત્યારે પાતાળગંગા પ્રોજેક્ટ્સની જવાબદારી સોંપી હતી. આ પ્રોજેક્ટ્સ ઓઇલ રિફાઇનરી માટે મહત્ત્વાકાંક્ષી હતો. ધીરુભાઈ એકવાર ડાન્સ પર્ફોર્મન્સ જોવા ગયા હતા અને ત્યાં નીતા પર્ફોર્મ કરતાં હતાં. તેમને જોતા જ ધીરુભાઈને દીકરા માટે તેઓ ગમી ગયાં. મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે 1985માં લગ્ન કર્યાં. 1991માં ટ્વિન્સ આકાશ તથા ઈશાનો જન્મ થયો. 1995માં અનંત અંબાણીનો જન્મ થયો. ભાગલા બાદ મુકેશ અંબાણીના હિસ્સે જામનગર રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ, તેલ-ગેસ તથા ટેક્સટાઇલ બિઝનેસ આવ્યા. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાગલા પડ્યા ત્યારે શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અનિલ અંબાણીના બિઝનેસને નુકસાન થાય તેવા કોઈ બિઝનેસ મુકેશ અંબાણી કરી શકશે નહીં. આ કોન્ટ્રાક્ટ 2010માં પૂર્ણ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ સેક્ટર કોર્પોરેશન છે. રિલાયન્સની પાસે સિંગલ લોકેશન પર દુનિયાની સૌથી મોટી રિફાઇનરી જામનગરમાં છે. રિલાયન્સની માર્કેટ કેટ 17.5 કરોડ રૂપિયાથી પણ વધારે છે. રિલાયન્સની કોઈ ને કોઈ પ્રોડક્ટ કે પછી સર્વિસ અંદાજે દરેક ભારતીય વાપરે છે. મુકેશ અંબાણી પહેલી જ વાર 2007માં દુનિયાની સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં સામેલ થયા. છેલ્લાં ઘણાં વર્ષોથી મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર બિઝનેસમેનના લિસ્ટમાં ટોચ પર છે. મુકેશ અંબાણીનાં ત્રણેય સંતાનો શું કરે છે અંબાણી પરિવારના દેશ-વિદેશમાં ઘરોઅંબાણી પરિવાર મુંબઈમાં 27 માળના ‘એન્ટિલિયા’માં રહે છે. આ ઘરને મેન્ટેઇન કરવા 600નો સ્ટાફ છે. 160 કાર પાર્ક થઈ શકે તેટલું મોટું ગેરેજ છે. ભારત ઉપરાંત લંડન, દુબઈ, અમેરિકામાં પણ અંબાણી પરિવારનાં ઘર છે. મુકેશ અંબાણી-નીતા અંબાણી આટલા પૈસાદાર હોવા છતાં ઘરમાં ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. તેમનાં સંતાનોનાં લગ્ન ગુજરાતી પરંપરા પ્રમાણે જ કરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં, નવરાત્રિથી લઈને દરેક ફેસ્ટિવલ એન્ટિલિયામાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. નીતા અંબાણી સ્કૂલ સંભાળી રહ્યાં છેનીતા અંબાણીએ મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરી છે. આ સ્કૂલમાં બોલિવૂડ, ક્રિકેટર્સના સંતાનો ભણતાં હોય છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી તથા મુંબઈમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકેલ ટેક્નોલોજી પણ છે. નીતા અંબાણીએ વર્લ્ડ ક્લાસ નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં આર્ટ ને મ્યૂઝિકલ શો થતાં હોય છે. નીતા અંબાણી IPLમાં ‘મુંબઈ ઇન્ડિયન્સ’ ટીમ પણ ધરાવે છે. અનિલ અંબાણીનો જન્મ 4 જૂન, 1959માં મુંબઈમાં થયો. અનિલ અંબાણીએ કિશનચંદ છેલ્લારામ કોલેજમાંથી B.Scમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ પેન્સિલવેનિયામાંથી MBA કર્યું. 1984માં પિતાના બિઝનેસમાં જોડાયા. પિતાના અવસાન બાદ તેમના હિસ્સામાં રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, રિલાયન્સ પાવર, ફાઇનાન્સિયલ સર્વિસ તથા એન્ટરટેઇનમેન્ટ તથા ટેલિકોમ બિઝનેસ આવ્યા. 2008માં અનિલ અંબાણી રિલાયન્સ પાવરનો આઇપીઓ લાવ્યા અને માત્ર 60 સેકન્ડ્સમાં આઇપીઓ ભરાઈ ગયો હતો. 2008માં 42 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ અનિલ અંબાણીએ 2020માં બ્રિટનની કોર્ટમાં નાદારી નોંધાવી હતી. ભાગલા બાદ અનિલ અંબાણીએ ઇન્ફ્રા, ડિફેન્સ તથા એન્ટરટેઇનમેન્ટના વિવિધ ફિલ્ડમાં એન્ટ્રી મારી, પરંતુ સફળતા બહુ મળી નહીં. ઉત્તર પ્રદેશના દાદરીમાં ગેસ આધારિત મેગા વીજળી યોજના શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ 2009માં અલ્લાહાબાદ હાઇકોર્ટે જમીન સંપાદિત ડીલ કેન્સલ કરી. ‘એડલેબ્સ’ તથા ‘ડ્રીમવર્ક્સ’ સાથેની ડીલ પણ ખાસ સફળ રહી નહીં. ટેલિકોમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર દેવું વધતા આર્થિક સંકટ ગંભીર બન્યું. 2019માં કંપની નાદારીમાં જતી રહી. તે વર્ષે રિલાયન્સ કમ્યુનિકેશન વિદેશી કંપની એરિક્સન ABના ભારતીય યુનિટને 550 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ રહી અને અનિલ અંબાણી જેલમાં જાય તેવી સ્થિતિ ઊભી થઈ. આ સમયે મોટાભાઈ મુકેશ અંબાણી મદદે આવ્યા અને જેલમાં જતા બચાવી લીધા. ચીનની બેંક પાસેથી 2012માં અનિલ અંબાણીએ લોન લીધી હતી અને આ બેંકે લંડનમાં કેસ કર્યો હતો. આ દરમિયાન લંડનની કોર્ટે 680 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપતા જ અનિલ અંબાણીએ પોતાની પાસે કોઈ જ સંપત્તિ ના હોવાની વાત કહી. 2021માં રિલાયન્સ કેપિટલે પણ નાદારી નોંધાવી અને હાલમાં આ કંપનીને હિંદુજા ગ્રૂપે ખરીદી છે. અનિલ અંબાણીએ બોલિવૂડ એક્ટ્રેસ ટીના મુનીમ સાથે 1991માં લગ્ન કર્યાં. બંનેને બે દીકરા જય અનમોલ તથા જય અંશુલ છે. પરિવાર 2010થી 14 માળની ‘સી વિન્ડ’ બિલ્ડિંગમાં રહે છે. અનિલ અંબાણી રનર છે2003માં અનિલ અંબાણીએ બોસ્ટન મેરેથોન માટે તાલીમ લીધી હતી. ન્યૂ યોર્કની એક ઇવેન્ટમાં અનિલ અંબાણીના વજન પર સવાલ કરવામાં આવ્યો હતો. આ સમયે તેમનું વજન 110 કિલો હતું. ત્યારબાદ અનિલ અંબાણીએ દોડવાનું શરૂ કર્યું. તેઓ અઠવાડિયામાં છ દિવસ 15 કિમી જેટલું રનિંગ કરે છે. મુંબઈમાં 2004થી મેરેથોન શરૂ થઈ છે અને ત્યારથી અનિલ અંબાણી ભાગ લે છે. અનિલ અંબાણીના મતે, તેમના પિતાએ સલાહ આપી હતી, સારાં કપડાં, સારું ભોજન પૈસાથી ખરીદી શકાય છે, પરંતુ સારું સ્વાસ્થ્ય ક્યારેય ખરીદી શકાતું નથી. અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ 2009માં મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ શરૂ કરી છે. 2016માં મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં 18 જેટલા કેન્સર કેર યુનિટ શરૂ કર્યાં છે. નીના કોઠારીએ 1986માં બિઝનેસમેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યાં. તેમને બે બાળકો અર્જુન તથા નયનતારા છે. ફેબ્રુઆરી, 2015માં ભદ્રશ્યામનું અવસાન થતાં એચ.સી. કોઠારી ગ્રૂપનાં ચેરપર્સન નીના કોઠારી બન્યાં. આ ઉપરાંત કોઠારી શુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, કોઠારી સેફ ડિપોઝિટ્સ લિમિટેડ તથા કોઠારી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ પણ જુએ છે. ‘જાવાગ્રીન’ કૉફી તથા ફૂડ કેકે પણ ચલાવે છે. દીપ્તિ સલગાંવકરે ગોવાના બિઝનેસમેન દત્તરાજ સલગાંવકર સાથે લગ્ન કર્યાં. ગોવામાં ફેમસ ફૂટબોલ ક્લબના માલિક પણ છે. ગોવામાં દત્તરાજ ટ્રાવેલ એજન્સી, રિયલ એસ્ટેટ, ફાઇનાશિયલ સર્વિસનું કામ પણ કરે છે. આ ઉપરાંત ગોવામાં મેરિયોટ રિસોર્ટ તથા સ્પા છે. દીપ્તી તથા દત્તરાજને એક દીકરી ઇશિતા છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 2016માં ઇશિતાએ નીરવ મોદીના ભાઈ નીશાલ મોદી સાથે લગ્ન કર્યાં, પરંતુ તે લાંબું ટક્યાં નહીં. 2022માં ઇશિતાએ ‘નેક્સઝૂ મોબિલિટી’ના ફાઉન્ડર અતુલ્ય મિત્તલ સાથે ફેરા ફર્યા. જ્યારે દીકરો વિક્રમ વી. એમ. સાલગાંવકર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે. રેફરન્સ બુક્સઃ1. ધીરુભાઈઝમ2. ધીરુભાઈ અંબાણીઃ અવરોધોની આરપાર હિંમત, ધીરજ અને દીર્ઘદૃષ્ટિની અમરકથા (‘લક્ષાધિપતિ’ના ત્રીજા એપિસોડમાં વાંચો, ‘નિરમા’ના ફાઉન્ડર કરસનભાઈ પટેલની કહાની. કેવી રીતે તેમણે નિરમા કંપની ઊભી કરી, આજે તેમનાં સંતાનો શું કરે છે, નિરમા કંપનીએ કેવી રીતે મલ્ટિનેશનલ કંપનીઓને ટક્કર આપી?)

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 6:00 am

21 નવેમ્બર સુધી આઇએસએસઓ નેશનલ સ્પર્ધાનું આયોજન:નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં દેશના 800 ખેલાડી વચ્ચે બાસ્કેટબૉલ-હેન્ડબૉલનો જંગ

નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ 17થી 21 નવેમ્બર દરમિયાન 7માં આઇએસએસઓ નેશનલ બાસ્કેટબૉલ અને હેન્ડબૉલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના પ્રતિક્ષિત સ્પોર્ટ્સ મહોત્સવમાં દેશભરના 35 પ્રતિષ્ઠિત શાળાઓ અને લગભગ 800 વિદ્યાર્થી-ખેલાડીઓ ટોચના ખિતાબો માટે હરીફાઈ કરશે. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્પોર્ટ્સમેનશીપ, ટીમવર્ક, ખેલ કુશળતા તથા આંતરસાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહિત કરવાનો છે. કેમ્પસ વિશ્વસ્તરની સ્પોર્ટ્સ સુવિધાઓ, તાલિમબદ્ધ અધિકારીઓ અને સુવ્યવસ્થિત આયોજન સાથે યાદગાર અને વ્યાવસાયિક ટુર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉદઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ યુવા ખેલાડીઓને ઉત્તમતા તરફ આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:57 am

કોમર્સના વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવા ABVPની માગ:NCCના 70 વિદ્યાર્થીને રેજિમેન્ટ નંબર ન અપાતાં ડીનને રજૂઆત

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એનસીસીમાં સીલેકશન કરવામાં આવે તથા 70 જેટલા વિદ્યાર્થીઓના રેજીમેન્ટ નંબર અપાયા નથી તે મુદ્દે એબીવીપીએ કોમર્સ ડીનને રજૂઆતો કરી હતી. એબીવીપીના વિદ્યાર્થી આગેવાનએ જણાવ્યું હતું કે એનસીસીમાં કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એનસીસીમાં સેલેક્શન કરવામાં નથી આવ્યું તથા ગયા વર્ષ પણ અંદાજીત 70 જેટલા વિદ્યાર્થીઓને રેજીમેન્ટ નંબર અપાયા નથી. આ વિદ્યાર્થીઓ કોઇ કેમ્પમાં ભાગ લઇ શકતા નથી. એફવાય બીકોમના જે વિદ્યાર્થીઓને સિલેક્ટ નથી કરવામાં આવ્યા તેમનું સીલેકશન કરવામાં આવે તેવી માંગણી સાથે આ વિષયનો વિદ્યાર્થી હિતમાં નિરાકરણ નિર્ણય લેવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:57 am

મહિલાઓની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવો પ્રયત્ન:સાવલી દશાદિશાવાળ વણિક યુવા મહિલા સમાજનું સ્નેહમિલન,મહિલાઓએ ડાન્સ-ગીત,શ્લોકો રજૂ કર્યા

સાવલી દશાદિશાવળ વણિક યુવા મહિલા સમાજ દ્વારા આજ રોજ હરણી રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ પ્રીતિ શાહ અને ઉપપ્રમુખ અમિતા મજમુન્દાર માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના અંદાજે 35 જેટલા મહિલાઓ તેઓમાં છુપાયેલી પ્રતિભાઓ, કૃતિઓ અને કલાત્મક રજૂઆતો કરવામાં આવી હતી. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન લાયન્સ ક્લબના જયેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું . સમાજના સર્વાંગી વિકાસ અને બહેનોની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે દિશામાં આ સ્નેહમિલન સમારોહ સફળ પુરવાર થયો હતો.કાર્યક્રમમાં 75 વર્ષના વૃદ્ધાએ કેરીઓક દ્વારા સુંદર ગીતની પ્રસ્તુતી કરી હતી. કાર્યક્રમમાં વણિક સમાજના પ્રમુખ સુનિલ શાહ, કોર્પોરેટર ડૉ. રાજેશ શાહ , તેમજ વિવિયના ગ્રુપના નિકેશ ચોકસી હાજર રહ્યા હતા. ભાસ્કર નોલેજ સરભાણ પટેલ પરિવાર દ્વારા 28મા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરાયુંસરભાણ પટેલ પરિવાર દ્વારા સતત 25 વર્ષથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકો એક-બીજાને ઓળખે તેવો છે. આ સાથે કાર્યક્રમમાં બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કાર્યક્રમમાં 250 પરિવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને મહિલાઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં મહિલાઓએ હર્ષોઉલ્લાસ સાથે ભાગ લીધો હતો. 6 વર્ષની બાળકીએ ગીતા શ્લોક મોઢેે બોલ્યાકાર્યક્રમમાં બાળકોથી માંડીને વૃદ્ધ મહિલાએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી હતી. જેમાં પ્રાંતી તલાટી નામની માત્ર 6 વર્ષની બાળકીએ ગીતાના શ્લોક મોઠે બોલી લોકોને સંભાળાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:56 am

નરેશ પટેલને લઈ પાટીદાર સમાજમાં જ બે ફાંટા?:સમર્થકો અને વિરોધીઓ વચ્ચે 'ફેસબૂક વોર' શરૂ; ABVP-NSUIનો એક જ મુદ્દે વિરોધ, GTUમાં જોરદાર નારેબાજી

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:55 am

ભાસ્કર એક્સક્લુસિવ:મહંત સ્વામીના 92મા જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે 1700 બાળકોએ આદર્શ પૂજાનો કરવાનો સંકલ્પ લીધો

બીએપીએસ સંસ્થામાં ગુરુપદે બિરાજમાન થયા બાદ પ્રથમ વખત મહંત સ્વામી મહારાજનો વડોદરામાં 2 ફેબ્રુઆરીના રોજ 92મો જન્મ જયંતી મહોત્સવ ઊજવવામાં આવશે. આ મહોત્સવને પગલે વડોદરાના 1700 બાળકોએ આદર્શ પૂજા કરવાનો નિયમ લીધો છે. આ સાથે 16મીએ વડોદરામાં અટલાદરા, માંજલપુર, તરસાલી સહિત 25 બીએપીએસ મંદિરોમાં 6 થી 13 વર્ષના 1250 બાળકોએ સમૂહ પૂજામાં ભાગ લીધો હતો. મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી 2 લાખથી વધુ ભક્તો વડોદરા આવશે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જન્મ જયંતી મહોત્સવમાં આવવાના હોવાથી તે માટે સંસ્થા દ્વારા વડોદરા શહેરની આસપાસ મોટા મેદાનમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. 92મી જન્મ જયંતી નિમિત્તે બે મહિનાથી પ્રતિ માસ એક રવિવારે ‘થઈએ મહંતજીના માનસ પુત્રો’ કેન્દ્ર વર્તી વિચાર અન્વયે રવિ સભા થાય છે. આનંદ સ્વરૂપ સ્વામીએ રવિવારે કેળવીએ દાસત્વ ભાવ વિષયક અદ્ભુત વક્તવ્ય રજૂ કર્યું હતું. સાથોસાથ જણાવ્યું હતું કે દાસત્વ ભક્તિએ ઉપાધિ નહીં પરંતુ ઉપલબ્ધિ છે. આ સભામાં આશરે 7 હજારથી વધુ ભાવિક ભક્તો એક સરખા ગણવેશ પરિધાન કરી શિસ્તબદ્ધ રીતે આસનસ્થ હતા. પૂ.મહંત સ્વામીએ લખેલા સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક 15 હજાર બાળકે મોઢે કર્યામહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં શ્ર્રેય-પ્રેય એટલે કે આલોકથી પરલોક વિશે 315 સંસ્કૃત શ્લોકમાં વર્ણન કર્યું છે. આ શ્લોકને દેશ-વિદેશના 15,666 બાળકોએ મોઢે કર્યા હતા. જેમાં વડોદરાના 1247 બાળકોએ પણ મહંત સ્વામી મહારાજની 92મા જન્મ જયંતી મહોત્સવને લઈને આ શ્લોક મોઢે કર્યા છે. ભાસ્કર નોલેજ આદર્શ પૂજા એટલે શું ?

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:53 am

ખોરાક શાખાની ટીમનું ચેકિંગ:સુરસાગર પાસે પાણીપૂરી વેચતા ઠેલા પર ચેકિંગ, બટાકા-પાણીનો નાશ

શહેરના સુરસાગર તળાવ પાસે પાણીપૂરીનું વેચાણ કરતા ઠેલા પર પાલિકાની ખોરાક શાખાની ટીમે સોમવારે સાંજે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ખોરાક શાખાની ટીમે બટાકાનો અખાદ્ય જથ્થો તેમજ પાણીપૂરીના પાણીને ગટરમાં નાખી નાશ કર્યો હતો. બીજી તરફ ખોરાક શાખાની ટીમે ન્યૂ સમા રોડ, દાંડિયાબજાર, પ્રતાપનગર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, ગોરવા, સમતા, અલકાપુરી સહિતના વિસ્તારમાં 20 યુનિટ પર ચેકિંગ કર્યું હતું. જેમાં ટીમે તુવેર દાળ, મસાલા, તેલ, સેવ, પનીર ટીક્કા મસાલા અને લોટના 6 નમૂના લઇને તેને તપાસ સાથે મોકલી આપ્યા છે. આ કામગીરી દરમિયાન ગંદકી ધ્યાને આવતાં ખોરાક શાખાએ સ્વચ્છતા જાળવવા માટે નોટિસ આપી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:51 am

વડોદરા એરપોર્ટ ઉપર થશે સઘન ચેકિંગ:એરપોર્ટ પર મુસાફરોને મૂકવા આવતી કાર,સામાનનું પણ સઘન ચેકિંગ કરાશે

દિલ્હીની બ્લાસ્ટની ઘટના બાદ વડોદરા એરપોર્ટ પર સોમવારે એરપોર્ટ ઓથોરિટી, વડોદરા પોલીસ, વાયુસેના અને સીઆઈએસએફના અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય સુરક્ષાની સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને એરપોર્ટ પર મુસાફરોને મૂકવા આવતી કાર, મુસાફરો અને સામાનનું સ્કેનિંગ કરી સઘન તપાસ કરવા સૂચના અપાઈ હતી. સાથે એરપોર્ટના કર્મીને શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીને જાણ કરવા જણાવાયું છે. નોંધનીય છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતનાં રાજ્યોને હાઈ એલર્ટ પર રખાયાં છે. સાથે દેશભરનાં સુરક્ષા દળ પણ હાઈ એલર્ટ પર છે. ભાસ્કર ઇનસાઈડએરપોર્ટના ફનલ એરિયામાં ક્રાઇમ બ્રાંચ,એસઓજી દ્વારા તપાસ કરાશે​​​​​​વડોદરા એરપોર્ટ પર સુરક્ષા પ્રણાલીને કેવી રીતે વધુ સારી કરી શકાય તે માટે સોમવારે બ્રીફિંગનું આયોજન થયું હતું. જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કહ્યું કે, એરપોર્ટથી પ્લેન ઉડાન ભરે અને લેન્ડ કરે તે વિસ્તારને ફનલ એરિયા કહે છે. જેની 3 લેયર સિક્યુરિટી તેમજ એરપોર્ટની આસપાસના રહેણાક વિસ્તારોમાં ક્રાઈમ બ્રાંચ, એસઓજી સઘન તપાસ કરશે. ખાસ કરીને કોઈ આતંકી તત્ત્વો નામ બદલી ભાડુઆત તરીકે તો નથી રહેતા ને, તે દિશામાં પોલીસ ખાસ તપાસ કરશે. ઉપરાંત એરપોર્ટની બહારના વિસ્તારનાં દબાણોની તપાસ પોલીસે શરૂ કરી છે. ઇનસાઇડ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 5:50 am