આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને અપહરણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમેરિકા મોકલવાની લાલચ આપી આણંદના બે નાગરિકોને અઝરબૈજાન લઈ જઈ, ત્યાં તેમને ગોંધી રાખી માર મારી રૂ. 65 લાખની ખંડણી વસૂલનાર મુંબઈના ત્રણ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે ત્રણેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા આરોપીઓ ફરિયાદ અનુસાર, આરોપીઓએ આણંદના ધ્રુવ અને સાહેદબેન નામના બે યુવકોને કેનેડા અથવા અમેરિકા મોકલવાના બહાને દિલ્હીથી અઝરબૈજાન મોકલ્યા હતા. અઝરબૈજાન પહોંચતા જ આરોપીઓએ બંનેનું અપહરણ કરી એક ગુપ્ત સ્થળે ગોંધી રાખ્યા હતા. યુવકોના હાથ-પગ બાંધી, મોઢામાં ડુચા મારીને તેમને અસહ્ય શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પરિવારજનોને વીડિયો કોલ પર યુવકોને માર મારતા બતાવી ડરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ યુવકોની કિડની, આંખો અને લીવર કાઢીને વેચી દેવાની ધમકી આપી રૂ. 65 લાખની ખંડણી માંગી હતી, જે પરિવારજનો પાસેથી પડાવી લેવામાં આવી હતી. આણંદ પોલીસ અધિક્ષક શ્રી જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ LCB ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ કેસની તપાસ હાથ ધરી હતી. તપાસના છેડા મુંબઈ સુધી પહોંચતા, પોલીસે ત્યાં દરોડો પાડી ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મુંબઈના થાણેના રહેવાસી મમતાબેન જીતેશ ગાવિત (ઉં.વ.49), દહીસર ઈસ્ટના કેતન રમેશ કાંતિલાલ સોની (ઉં.વ. 54) અને અંધેરી ઈસ્ટના ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરો (ઉં.વ. 49) નો સમાવેશ થાય છે.
સુરતમાં જમીન માલિકોને છેતરી કરોડોની જમીન પચાવી પાડવામાં માહેર ગણાતો આરોપી વિનુ હરીભાઈ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યો છે. સુરત ઇકોનોમિક સેલ દ્વારા વેસુ વિસ્તારની કિંમતી જમીન હડપ કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. 11 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો વિનુ માલવિયા જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે તેનો અક્કડ મિજાજ અને મીડિયા પ્રત્યેનો તેનો ઉદ્ધત અભિગમ ચર્ચાનો વિષય બન્યો હતો. DCP કરણસિંહ રાજ વાઘેલાએ તેને 'રીઢો અને ચાલાક' ગુનેગાર ગણાવ્યો છે, જ્યારે વિનુ હજુ પણ પોતાની નિર્દોષતાનો ડોળ કરી રહ્યો છે. કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટેમ્પ પેપર પર બોગસ સાટાખત બનાવ્યાવેસુ ગામના નવા બ્લોક/સર્વે નંબર 311/2 વાળી કરોડોની જમીન પચાવી પાડવા માટે વિનુ માલવિયા અને તેના સાગરિત પ્રતુલ પટેલે એક મસમોટું ગુનાહિત કાવતરું રચ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને શખસોએ નવી શરતની જમીન, જેનું વેચાણ કાયદેસર રીતે શક્ય નથી, તેના બોગસ સાટાખતો બનાવ્યા હતા. આરોપીઓએ જુની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી, તેના પર બનાવટી લખાણો ઊભા કર્યા હતા. આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્ટેમ્પ રજીસ્ટ્રેશન નંબર 5062 વાળા એક જ સ્ટેમ્પ પેપર પર બે અલગ અલગ તારીખો (16/08/2001 અને 26/05/2001) લખીને અલગ અલગ સાટાખતો તૈયાર કરવામાં આવ્યા હતા. 11 ગુનાઓના આરોપીની ટંગડી ઊંચીને ઊંચીવિનુ માલવિયાની ધરપકડ બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે તેનો એટીટ્યુડ કોઈ રીઢા અપરાધી જેવો જ હતો. મીડિયાના કેમેરા જોઈને ભડકેલા વિનુએ કહ્યું હતું કે, કોઈની બેઈજ્જતી ન કરો, હજી તો તપાસ ચાલે છે. મીડિયામાં છાપીને તમને શું મળવાનું છે? આ કોર્ટની કોઈ પ્રોસિજર નથી. 11 જેટલા ગુનાઓ જેની પર નોંધાયેલા છે તેવો આરોપી નૈતિકતા અને મર્યાદાની વાતો કરતો જોઈ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેની આંખોમાં કાયદાનો કોઈ ડર દેખાતો નહોતો, ઉલટાનું તે મીડિયાકર્મીઓને જ શિખામણ આપતો જોવા મળ્યો હતો. પૂછપરછમાં પોલીસને પણ ગોળ ગોળ ફેરવીસુરત ઇકોનોમિક સેલના DCP કરણસિંહ રાજ વાઘેલાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિનુ માલવિયા એક જાણીતો અને રીઢો ગુનેગાર છે. તે પોલીસ તપાસમાં જરા પણ સહકાર આપી રહ્યો નથી અને પ્રશ્નોના ગોળ-ગોળ જવાબ આપીને તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે. DCP એ વધુમાં ઉમેર્યું હતું કે આરોપી એટલો ચાલાક છે કે તે પોતાની ગુનાહિત પદ્ધતિઓને છુપાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ પોલીસ તેની કુંડળી ખંગાળી રહી છે. વિનુ માલવિયા સામે અત્યાર સુધીમાં નોંધાયા છે 11 ગુનાઇકો સેલના ડીસીપી કરણરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વીનુ માલવિયા જાણીતો ગુનેગાર છે, સુરત શહેરની અંદર ટોટલ અલગ-અલગ 11 જેટલા એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને એનો ગુનાઈત ઇતિહાસ 2009થી આજ સુધીનો છે. 2009થી 2026ની વચ્ચે એની વિરુદ્ધમાં અલગ-અલગ 11 ગુનાઓ દાખલ થયેલા છે જેની અંદર 8 જેટલા ગુનાઓ આ જ પ્રકારના છેતરપિંડી અને ફોર્જરીના 406, 420, 465, 67, 68, 71ના ગુનાઓ છે. એ ઉપરાંત એક એક્સટોર્શનનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે, એક રાયોટિંગનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે અને એક આઈ.ટી.એક્ટનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે. ન્યાયતંત્ર સાથે છેતરપિંડીના ગંભીર આક્ષેપોફરિયાદી તરફે ડો. શૈલેષ આર.પટેલ- એડવોકેટ હાજર રહ્યા હતા.પોલીસે કોર્ટમાં રજૂ કરેલા રિમાન્ડ ગ્રાઉન્ડ્સમાં જણાવ્યું છે કે આરોપીઓએ માત્ર દસ્તાવેજો જ બોગસ નથી બનાવ્યા, પરંતુ નામદાર કોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે. આરોપી પ્રતુલ પટેલે વિનુ માલવિયા સાથે મળીને વર્ષ 2002 માં એક દીવાની દાવો દાખલ કર્યો હતો. જેમાં મૂળ જમીન માલિકોની હાજરી વિના, તેઓની કોરા કાગળ પર મેળવેલી સહીઓનો ઉપયોગ કરી બોગસ 'સમાધાન પુરસીસ' રજૂ કરી હતી. આ રીતે આરોપીઓએ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરી ખોટા હુકમનામા મેળવી લીધા હતા, જેની જાણ વર્ષો પછી મૂળ માલિકોને થઈ હતી. પોલીસે રિમાન્ડ મેલવવા 12 મુદ્દાઓ રજૂ કર્યારિમાન્ડની માંગણી કરતા પોલીસે 12 જેટલા મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા. પોલીસનું કહેવું છે કે અસલ બોગસ સાટાખતો કબજે કરવાના બાકી છે. સ્ટેમ્પ રજીસ્ટ્રેશન નંબર 5062 વાળો સ્ટેમ્પ ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યો તેની તપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત, આ કૌભાંડમાં પડદા પાછળ રહીને મદદ કરનારા અન્ય સફેદપોશ શખ્સોની સંડોવણીની પણ પૂરેપૂરી શક્યતા છે. આરોપી પોલીસ કસ્ટડીમાં ન હોય તો પુરાવાઓ સાથે ચેડા કરી શકે તેમ છે, તેથી તેની સઘન પૂછપરછ અનિવાર્ય છે. સ્ટેમ્પ વેન્ડરોની ભૂમિકા અને બનાવટી સહીઓતપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે, આ ટોળકીએ સ્ટેમ્પ વેન્ડર એમ.એ. વાળંદ અને રમેશ આર. પટેલ પાસેથી મેળવેલા સ્ટેમ્પોનો દુરુપયોગ કર્યો છે. 16/08/2001 ના રોજ 600,000ની વેચાણ કિંમત દર્શાવતું સાદું નોટરી વગરનું સાટાખત ઉભું કરવામાં આવ્યું હતું. ન્યાયિક પ્રક્રિયામાં આંક-3 ના લિસ્ટમાં નિશાની-3/2 થી રજૂ કરાયેલ આ દસ્તાવેજ સંપૂર્ણપણે બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. આરોપીઓએ કોર્ટમાં એવી રીતે રજૂઆત કરી હતી કે જાણે તમામ પક્ષકારો સંમત હોય, પરંતુ વાસ્તવમાં મૂળ માલિકોને આ વાતની જાણ નહોતી. ગુનાહિત ઇતિહાસ અને ફરાર સાથીદારપોલીસે કોર્ટને જણાવ્યું હતું કે વિનુ માલવિયા વિરુદ્ધ ભૂતકાળમાં DCB પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે પોલીસની કાર્યપદ્ધતિથી વાકેફ હોવાથી સીધી રીતે કોઈ હકીકત ઉગલતો નથી. હજુ આ કેસમાં મુખ્ય આરોપી પ્રતુલ પટેલ ફરાર છે, જે ક્યાં છુપાયો છે તેની માહિતી પણ વિનુ પાસે હોવાની શક્યતા છે. સાથોસાથ, કોર્ટના રેકોર્ડમાંથી અસલ સાટાખત ગુમ થવાની ઘટના પણ શંકાસ્પદ છે, જે અંગે અલગથી તપાસની જરૂર છે. રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા અને હાઈકોર્ટની કાર્યવાહીઆ સમગ્ર કૌભાંડ માત્ર એક જમીન પૂરતું સીમિત ન રહેતા રાજ્યવ્યાપી સ્ટેમ્પ કૌભાંડ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જૂની તારીખના સ્ટેમ્પ પેપરો કેવી રીતે ઉપલબ્ધ થાય છે અને તેમાં કોણ કોણ સામેલ છે, તે દિશામાં પણ ઇકોનોમિક સેલ તપાસ કરી રહી છે. નામદાર હાઈકોર્ટમાં પણ આ જમીન બાબતે સિવિલ એપ્લિકેશન નંબર 2778/2022 થી જમીન માલિક વિજયભાઇ રમણભાઇ પટેલ વિગેરે નાઓએ સિવિલ કોર્ટના હુકમનામાને ચેલેન્જ કરેલ છે. વિનુ માલવિયાના ચાર દિવસના રિમાન્ડ મંજૂરઅંતે, પોલીસે આરોપી વિનુ માલવિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ગુનાની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખી આરોપી વિનુ માલવિયાના તારીખ 18/02/2026 ના બપોરે 14:00 કલાક (2:00 વાગ્યા) સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી દિવસોમાં પોલીસ પૂછપરછમાં આ જમીન કૌભાંડના અન્ય કેટલા મહારથીઓના નામ ખુલે છે, તેના પર સૌની નજર રહેશે.
રાજકોટના રેલનગર કર્ણાવતી સ્કૂલ પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્લોક નં. બી-608માં રહેતાં મગનભાઈ રતિલાલ દવે (ઉ.વ.78) તેમના પરિવારજનો સાથે રહે છે. 14 દિવસ પહેલા મગનભાઈ દવે અને પરિવારના સદસ્યો ઘરને તાળા મારી હરિદ્વારની જાત્રાએ ગયા હતા ત્યારે શુક્રવારે રાતે તેઓ પરત આવ્યા અને ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધૂમાડા નીકળતાં હોઈ આગ લાગ્યાનું જણાતાં 112માં જાણ કરતો ત્યાંથી રાજકોટ ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. જે બાદ પાણીનો મારો ચલાવી રાખ પણ કાબુ મેળવી લેવાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે અને તેમાં ઘરવખરી જતા મોટું નુકસાન પહોંચ્યું હતુ. ફાયર બ્રિગેડ ટીમના સ્ટાફને જાણ થતા તુરંત પહોંચી છઠ્ઠા માળે લાગેલી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી અને 25 મિનીટ બાદ આગ સંપુર્ણ કાબુમાં લીધી હતી. ઘરધણી મગનભાઈ દવેના કહેવા મુજબ આગ શોર્ટ સરકીટથી લાગી હોવાની શક્યતા છે. બીજા રહેવાસીઓના કહેવા મુજબ બે દિવસ પહેલા લાઈનમાં ધડાકા થયા હતાં. આ ઘરમાં ડીસી સ્વીચમાં સ્પાર્ક થવાને કારણે તણખા નીકળ્યા હોઈ કદાચ તેના કારણે આગ લાગી હશે. આ આગમાં ઘરવખરી જેવી કે શેટી, ગાદલા ગોદડા એમ બધુ જ બળી ગયું હોઈ મોટી નુકસાની થઈ છે. પરિવારજનો 14 દિવસથી હરિદ્વાર હતા. ગત રાતે પરત આવ્યા ત્યારે જ આગ ભભુકી ઉઠતાં બીજા રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં.સદ્દનસિબે કોઈ જાનહાની થઇ નથી. તેમ ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું હતુ.
જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના પર્વે ભક્તિની સાથે શિક્ષણનો પણ મહિમા ગવાયો હતો. ભારતી આશ્રમ ખાતે પૂજ્ય સંત શ્રી હરિહરાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા 40 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોના કાર્યને રાષ્ટ્ર નિર્માણનું પાયાનું કાર્ય ગણાવ્યું હતું. શિક્ષકોને સતત પ્રોત્સાહન મળતું રહે તે માટે દર વર્ષે આયોજન કરાશેભારતી આશ્રમમાં આયોજિત આ સમારોહમાં પૂજ્ય સંત શ્રી હરિહરાનંદ બાપુ, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના હસ્તે શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો કરનાર અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન આપનાર શિક્ષકોને શાલ, મોમેન્ટો અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હરિહરાનંદ બાપુએ ભાવ વ્યક્ત કર્યો હતો કે, શિક્ષકોને સતત પ્રોત્સાહન મળતું રહે તે માટે દર વર્ષે શિવરાત્રીના પર્વે આવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. સંસ્કારવાન બનાવવાની જવાબદારી સંતો અને શિક્ષકોના ખભે છેરાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે સન્માનિત શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સંતોના આશીર્વાદ સાથે શિક્ષકોનું સન્માન થવું એ એક સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું કે, જીવનમાં જો કક્ષા કેળવવામાં આવશે તો રક્ષા આપોઆપ થશે. સમાજમાં યુવાનોને વ્યસનમુક્ત કરવા અને સંસ્કારવાન બનાવવાની જવાબદારી સંતો અને શિક્ષકોના ખભે છે. આ તકે તેમણે ભારતી આશ્રમ સાથે જોડાયેલા પોતાના જૂના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 થી 6 શિક્ષકોની પસંદગીધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ પ્રાસંગિક સંબોધન કરી રાષ્ટ્રના ઘડવૈયા સમાન શિક્ષકોના ઉત્સાહને વધાર્યો હતો. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ભારતી બાપુની પ્રેરણાથી આયોજિત આ સન્માન વિધિમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 થી 6 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રકારના આયોજનોથી શિક્ષણ જગતમાં નવો ઉત્સાહ સંચરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અનેક સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાસન્માન મેળવનાર અમરેલીની બહારપરા કન્યા શાળાના શિક્ષક નીતાબેને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભવનાથ તળેટી જેવા પવિત્ર સ્થળે અને પૂજ્ય બાપુના આશ્રમ દ્વારા જે સન્માન મળ્યું છે તેનાથી અમે ગૌરવ અનુભવીએ છીએ. આ સન્માન અમને શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી કરવાની પ્રેરણા પૂરી પાડશે. આ પ્રસંગે અનેક સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી 6 માર્ચે યોજાવાની છે. આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી તપાસ બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે. બે ઉમેદવારોના ફોર્મમાં ખામીઓ હોવાને કારણે તે રદ્દ કરવામાં આવ્યા છે, જ્યારે બે ઉમેદવારોએ સ્વેચ્છાએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત આ રીતે હવે ચૂંટણીમાં 99 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આ ચૂંટણીમાં ખાસ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે, 30 ટકા મહિલા ઉમેદવારોના પ્રતિનિધિત્વની ખાસ બાબત અમલમાં મૂકવામાં આવી છે. કુલ 23 સભ્યો માટેની ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 5 મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે. વકીલ મતદારોની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે બે પોલિંગ સ્ટેશન ઉભા કરવાની સંમતિ અપાઈવકીલ મતદારોની સુવિધા વધારવા માટે આ વખતે પ્રથમ વખત બે અલગ-અલગ પોલિંગ સ્ટેશન પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. એક પોલિંગ સ્ટેશન ગુજરાત હાઇકોર્ટ ખાતે રહેશે, જ્યારે બીજું પોલિંગ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અટલ કલામ હોલ ખાતે ઉભું કરવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા વકીલોને મતદાનમાં સરળતા મળશે.આ નિર્ણય 27 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી જનરલ બોડી મિટિંગમાં લેવામાં આવ્યો હતો, જેમાં વકીલ મતદારોની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે બે પોલિંગ સ્ટેશન ઉભા કરવાની સંમતિ અપાઈ હતી. ચૂંટણી દિવસે સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલુંરાજ્યભરમાંથી 76,579 હજારથી વધુ વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના 18 નવેમ્બર 2025ના ‘વરધાન વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા’ તથા 18 ડિસેમ્બર 2025ના ‘યોગમાયા એમ.જી. વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા’ના ચુકાદાઓના આધારે હાથ ધરવામાં આવશે. ખાસ કરીને મહિલા અનામત સંબંધિત આ જજમેન્ટને અનુસરીને ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી માત્ર વહીવટી પ્રક્રિયા નહીં પરંતુ વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા બિલ્ડર શેલા ખાતેના ઘરેથી મર્સીડીઝ કારમાં બેસીને ડ્રાઇવર સાથે ઓફિસે જવા નીકળ્યા હતા. ત્યારે તેમના ઘર નજીક જ એક કારમાં આવેલા શખસોએ ગાડી અથડાવીને બિલ્ડર પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. જે બાદ અન્ય ગાડીમાં આવેલા શખ્સોએ પણ લાકડી અને પાઇપથી હુમલો કરીને બિલ્ડરને લોહીલુહાણ કરી નાખ્યા હતા. આ મામલે બોપલ પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી CCTVના આધારે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. સ્વીફ્ટ ગાડીના ચાલકે આવીને ગાડી ભટકાવી હતીશેલામાં આવેલા નંદનબાગમાં રહેતા હેમાંગ ભટ્ટ જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા છે. 13 ફેબ્રુઆરીના સવારે મર્સીડીઝ કારમાં ડ્રાઇવર સાથે નરોડા ખાતેની ઓફિસે જવા નીકળ્યા હતા. ડ્રાઇવરે કાર સોસાયટીમાંથી બહાર કાઢી ત્યારે નંદનબાગ રોડ ચાર રસ્તા પાસે સ્વીફ્ટ ગાડીના ચાલકે આવીને ગાડી ભટકાવી હતી. સ્વીફ્ટ ગાડીમાંથી ઉતરેલા બે શખ્સોએ લોખંડની પાઇપથી હેમાંગભાઇ પર હુમલો કર્યો હતો. અજાણ્યા શખસો મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા આ દરમિયાનમાં અન્ય એક ગાડીમાં ચારેક શખસોએ આવીને લાકડી અને લોખંડની પાઇપથી હેમાંગભાઇને આડેધડ મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. કેટલાક શખસોએ ડ્રાઇવરને પકડી રાખ્યો હતો અને ડ્રાઇવર શેઠને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. ત્યાંથી પસાર થતા લોકો આવી જતા આ શખસો મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. હાલ બોપલ પોલીસે ગુનો નોંધી આસપાસના CCTV ને આધારે તપાસ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે નવનિર્મિત ગુજરાતી પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ બાંધકામની કામગીરી અટકાવી દીધી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના ઓરડાના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી રહી છે. આક્ષેપ મુજબ, બાંધકામમાં પ્લાન કરતા માત્ર 50% સ્ટીલનો જ ઉપયોગ થયો છે. એન્જિનિયરિંગ પ્લાન મુજબ જે બીમમાં 48 રિંગ હોવી જોઈએ, તેને ગ્રામજનોની હાજરીમાં તોડીને જોતા માત્ર 24 રિંગ જ મળી આવી હતી. સ્થળ પર હાજર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરનો ગામના આગેવાનોએ ઉધડો લીધો હતો. બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે થઈ રહેલી આ ચેડાં સહન કરવામાં નહીં આવે તેવી ચીમકી સાથે હાલ બાંધકામની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. સીમલીયા ગામના લોકોએ ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓ દ્વારા આ બાંધકામની તપાસ કરવાની અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ ઇજનેર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સગીર યુવતીઓની છેડતી કરનાર આરોપી સામે કડક કાર્યવાહી:PASA હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો
પોરબંદર જિલ્લામાં સગીર વયની યુવતીઓ સાથે અશ્લીલ ચેનચાળા અને છેડતીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, આરોપીને P.A.S.A. (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રિતુ રાબાના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી હિતેશ નાથાલાલ કોટીયા (ઉંમર 40), રહે. ખાપટ, મેરેડીયન સિનેમાવાળી ગલી, પોરબંદર, મેમણવાડા વિસ્તારમાં રાત્રિના સમયે ઇલેક્ટ્રિક મોટરસાયકલ પર આટાફેરા કરી સગીર વયની યુવતીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો. તે યુવતીઓના શરીરે ટપલીઓ મારી ભાગી જતો અને સતત છેડતી કરતો હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. આ મામલે કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. નોંધાયેલા ગુનાઓમાં BNS કલમ ૭૪, ૭૫(૧)(૧), ૭૮(૧)(૧) તેમજ POCSO Act, 2012 ની કલમ ૧૨નો સમાવેશ થાય છે. પોલીસ અધિક્ષક ભાગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર, કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પો. ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરીએ આરોપી વિરુદ્ધ P.A.S.A. હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. કેસની ગંભીરતા અને જાહેર શાંતિ-સુરક્ષાને ધ્યાને લઈ પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપી સામે P.A.S.A. વોરંટ જારી કર્યો. ત્યારબાદ LCB ઇન્ચાર્જ પો. ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાએ P.A.S.A. વોરંટની બજવણી કરી આરોપીને કાયદેસરની અટકાયત હેઠળ અમદાવાદ જેલ ખાતે ધકેલી આપ્યો. પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સગીર વયની બાળાઓ વિરુદ્ધ થતા ગુનાઓ બાબતે કોઈ પણ પ્રકારની સહનશીલતા દાખવવામાં નહીં આવે. આવા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે અને સમાજમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રતિબદ્ધ છે.
ચરોતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ ‘SAMVĀDA 2026’ વિદ્યાનગર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી સ્થાપિત આ યુનિવર્સિટીમાં યોજાયેલી આ પરિષદમાં ભારત અને વિદેશના વિદ્વાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ CVMના અધ્યક્ષ ભીખુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. રોમાનિયા અને મોલ્ડોવા જેવા દેશોના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને જ્ઞાનનું આદાન-પ્રદાન કર્યું હતું. પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે રોમાનિયાના Dr. Nicolae Stanciu (એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ, V.I.T.R.I.O.L. Arts Labs International) એ હાજરી આપી નૈતિક નવોચાર પર પ્રેરક ઉદબોધન આપ્યું હતું. વિશિષ્ટ અતિથિ તરીકે મોલ્ડોવા થી Dr. Liliana Staver (નેશનલ કોન્ટેક્ટ પોઇન્ટ, જ્વોઇન્ટ રિસર્ચ સેન્ટર) અને રોમાનિયા થી Dr. Virgil-Ștefan Nitulescu (સભ્ય, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર મ્યુઝિયમ્સ) એ સાંસ્કૃતિક જાગૃતિ અને આંતરરાષ્ટ્રીય સંશોધન સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. કુલ 104 પ્રતિભાગીઓએ આ મંચ પર શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિ (AI) અને પર્યાવરણ ન્યાય જેવા આધુનિક વિષયો પર મંથન કર્યું હતું. રજિસ્ટ્રાર ડૉ. સંદીપ વાલિયા અને પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલના નેતૃત્વમાં આ આયોજન થયું હતું. આ અવસરે શ્રેષ્ઠ સંશોધનપત્ર માટે જયશ્રી રાજાભાઈ ચાવડાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પરિષદના કન્વીનર ડૉ. અર્ચના નરહરીએ આ સંવાદને ભવિષ્યના નૂતન સમાજની રચના માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
ગુજરાતની સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગસુવિધા ગણાતી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (NE-1)ને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ એક્સપ્રેસવેના વિસ્તરણ માટે ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા કન્સલ્ટન્સી ફર્મ નીમવા ટેન્ડર બહાર પાડ્યું છે. 12 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં NHAI મુખ્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા ટેન્ડર અનુસાર DPR 0.000 કિમીથી 93.302 કિમી સુધીના સંપૂર્ણ 93.302 કિમીના માર્ગ માટે તૈયાર કરવામાં આવશે. હાલ આ એક્સપ્રેસવે પર બંને બાજુ બે-બે લેન અને સર્વિસ લેન ઉપલબ્ધ છે. 14 માર્ચ સુધી ટેન્ડર સબમિશનની છેલ્લી તારીખNHAIના જાહેર શેડ્યૂલ મુજબ, ટેન્ડર સંબંધિત પ્રશ્નો 3 માર્ચ, 2026 સુધી પુછાઈ શકશે. 4 માર્ચે પ્રી-બિડ મિટિંગ યોજાશે, જ્યારે ટેન્ડર ડાઉનલોડ અને સબમિટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ, 2026 સવારે 11 વાગ્યા સુધી રાખવામાં આવી છે. 2004માં શરૂ થયો હતો દેશનો પ્રથમ 4 લેન એક્સપ્રેસ-વેઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે વર્ષ 2004માં Atal Bihari Vajpayeeના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા Golden Quadrilateral પ્રોજેક્ટ હેઠળ ખુલ્લો મુકાયો હતો. આ દેશનો પ્રથમ 4-લેન એક્સપ્રેસવે ગણાય છે. આ માર્ગ અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો મહત્વપૂર્ણ કોરિડોર છે. આ માર્ગ શરૂ થતાં અમદાવાદથી વડોદરા વચ્ચેનો મુસાફરી સમય લગભગ 2.5 કલાકથી ઘટીને અંદાજે 1 કલાક થશે. દરરોજ 51 હજારથી વધુ વાહનોની અવરજવરછેલ્લા બે દાયકામાં ઝડપભર્યું શહેરીકરણ, ઉદ્યોગ વિકાસ અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓમાં વધારો થતાં વાહનવ્યવહાર વધી રહ્યો છે. હાલમાં આ એક્સપ્રેસવે પર દરરોજ અંદાજે 51 હજાર જેટલા વાહનો પસાર થાય છે. વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે જોડાણ થતા આગામી સમયમાં ટ્રાફિક વધવાની શક્યતા છે. રાજ્ય સરકારે 8-લેન કરવાની માંગ ઉઠાવીવધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક્સપ્રેસવેને 8-લેન સુધી વિસ્તૃત કરવાની માંગ કેન્દ્ર સમક્ષ મૂકી હતી. આ મુદ્દો નવી દિલ્હીમાં યોજાયેલી બે દિવસીય ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (TDC) બેઠકમાં પણ ચર્ચાયો હતો, જેને નીતિન ગડકરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જમીન અધિગ્રહણની જરૂર નહીં પડેઅધિકારીઓના જણાવ્યા મુજબ, NHAI પાસે માર્ગની બંને બાજુ લગભગ 50-50 મીટર જેટલો રાઇટ ઓફ વે પહેલેથી જ ઉપલબ્ધ હોવાથી જમીન અધિગ્રહણની મોટી જરૂરિયાત ઉભી નહીં થાય. વિસ્તરણ બાદ ટ્રાફિક જામમાં રાહત, માર્ગ સલામતીમાં વધારો અને અમદાવાદ–વડોદરા–મુંબઈ વચ્ચેનું વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની અપેક્ષા છે.
ગઢડામાં હિન્દુ સંમેલન યોજાયું:શોભાયાત્રા, સંતો-મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હિન્દુ સમિતિ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. સંમેલનની શરૂઆત સંતો-મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભારતમાતા પૂજન તેમજ વિશેષ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. હિન્દુ સંમેલનમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી સહિત સંતો-મહંતોએ સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન તથા રક્ષણ અંગે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી, મધુસુદન ડેરીના ચેરમેન ભોળા રબારી, જયરાજ પટગીર, શહેર ભાજપ પ્રમુખ વિક્રમ બોરીચા, અર્જુન રાજ્યગુરુ, મુકેશ હિહોરીયા, વિપક્ષ નેતા મીત ડાંગર, અમરશી માણીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
ગોતામાં રહેતા સુજેશભાઇ શાહ 132 ફુટ રિંગ રોડ પર આઇસીઆઇસીઆઇ બેંકમાં બ્રાંચ મેનેજર છે. થોડા દિવસ પહેલા એક ગ્રાહકે આવીને સીઆરએમમાં કેશ ડિપોઝિટ કરી હોવા છતાંય સામેવાળાના ખાતામાં રકમ ન મળી હોવાની ફરિયાદ કરી હતી. જેથી સીસીટીવી તપાસતા ચોર ટોળકીની હરકત કેદ થઇ હતી. મશીન સાથે મોબાઇલ લગાવીને ચેડા કર્યાંમળતી વિગત અનુસાર, 1 ફેબ્રુઆરીએ વહેલી સવારે બે શખ્સોએ આવીને મશીન સાથે ડિવાઇસ લગાવ્યુ હતું. ત્યારબાદ ત્રીજા શખ્સે મશીન પાસે આવીને મશીન સાથે મોબાઇલ લગાવીને કોઇપણ પ્રકારે ચેડા કરતો હતો. તે સમયે કેટલાક ગ્રાહકો નાણાં મશીનમાં જમા કરાવવા આવતા હતાં. ત્યારબાદ જ્યારે એક ગ્રાહકે આવીને નાણાં મશીનમાં જમા કરાવ્યા હતાં. ડિપોઝિટર બોક્સ ખોલીને 52 હજાર ચોરી લીધાજે બાદ વહેલી સવારે આવેલા શખ્સે અન્ય મશીન પાસે ઉભા રહ્યાનો ડોળ કર્યો હતો. જે બાદ આરોપીએ મશીનનો પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને સ્ક્રુ ડ્રાઇવર અને તારથી ડિપોઝિટર બોક્સ ખોલીને અટવાયેલા 52 હજાર ચોરી લીધા હતાં. આ મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાવર પ્લગ કાઢીને આરોપીઓ નાસી ગયાપ્રાથમિક તપાસમાં ગત તા.1ના રોજ આરોપીઓએ અનેક વાર મશીન બંધ કર્યુ હતું અને ચોરીને અંજામ આપીને પાવર પ્લગ કાઢીને આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે સીસીટીવી આધારે તસ્કરો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. બીજો બનાવગાડીને હટાવવાનું કહેતા તૂટી પડ્યાભાવનગરનો 21 વર્ષીય મહાવીરસિંહ મોરી વસ્ત્રાપુરમાં રહે છે કાર ભાડે આપવાનો વેપાર કરે છે. ગત 13મીએ તે થાર ગાડી લઇને મિત્રો સાથે એક ટી સ્ટોલ ખાતે ગયો હતો. ત્યારે ત્યાં અડચણરૂપ ગાડીને હટાવવાનું કહેતા ગાડીમાંથી કેટલાક શખ્સોએ ઉતરીને લાકડીઓથી હુમલો કરીને ગાડીને ધોકા મારીને ગોબા પાડ્યા હતાં. મામલો સરખેજ પોલીસ સમક્ષ પહોંચતા બંને પક્ષે સમાધાન થયું હતું. ટોળું આવ્યુ ને છરા, ધોકા, પાઇપોથી હુમલો કર્યોત્યારબાદ બીજા દિવસે રાત્રે મહાવીરસિંહ તેમના ભાઇ સાથે ઓફિસ નીચે બેઠા હતાં. ત્યારે બે ગાડી અને બે ટુવ્હીલર પર આશરે પંદરેક શખ્સોનું ટોળું આવ્યું હતું. આ શખ્સોએ છરા, ધોકા, પાઇપોથી હુમલો કર્યો હતો. શખ્સોએ મહાવીરસિંહને છરાના ઘા માર્યા હતા અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા વસ્ત્રાપુર પોલીસે પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા LCBએ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી દિપાજી ધારસંગજી ઠાકોરને ઝડપી પાડ્યો છે. આરોપી પાટણ જિલ્લાના રાજપુરનો રહેવાસી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કડક અમલવારી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેકટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન કલમ 65એઇ, 116(2), 98(2), 81 હેઠળના ગુનામાં ફરાર દિપાજી ધારસંગજી ઠાકોર ભોપાનગર ચાર રસ્તા પાસે છે. બાતમીના આધારે LCBની ટીમે દિપાજી ઠાકોરને ભોપાનગર ચાર રસ્તા પાસેથી રાઉન્ડ અપ કર્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માઁ સરસ્વતી પ્રાથમિક શાળા (સવાર), શાખા નંબર 24, ગદાપુરા ખાતે 'એડોલેશન પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ, વડોદરાના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર જાગૃતિ અને સમજ આપવામાં આવી હતી. જેમાં મોબાઈલ અવેરનેસ, ગુડ ટચ-બેડ ટચ, રોડ અકસ્માત જાગૃતિ, મલેરિયા-ડેન્ગ્યુ જાગૃતિ, અજાણ્યા લોકોથી બચવું, દૈનિક ક્રિયાની સારી અને ખરાબ ટેવો તથા માસિક ધર્મ સ્વચ્છતા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ વિષયો પર ડ્રામા પ્રસ્તુતિ અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. તાલીમ બાદ તમામ વિદ્યાર્થીઓ માટે રિફ્રેશમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે સરકારી નર્સિંગ કોલેજના ચોથા વર્ષના વિદ્યાર્થીઓના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણની મુસ્કાન પ્રજાપતિ રાષ્ટ્રીય લોન ટેનિસમાં રનરઅપ:AITA ચેમ્પિયન્સ ટુર્નામેન્ટ અજમેરમાં યોજાઈ
પાટણની શેઠ એમ. એન. હાઇસ્કૂલની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન વિપુલભાઈએ તાજેતરમાં અજમેર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ટુર્નામેન્ટ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટુર્નામેન્ટ હતી. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લે છે. મુસ્કાનની આ સિદ્ધિ માત્ર તેની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણ જિલ્લો અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે. પ્રજાપતિ મુસ્કાન માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ અભ્યાસમાં પણ તેજસ્વી વિદ્યાર્થીની છે. તેણીએ અગાઉ પણ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ લોન ટેનિસ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક ચેમ્પિયનશિપ હાંસલ કરી છે. અભ્યાસ અને રમતગમત બંને ક્ષેત્રમાં સંતુલન જાળવીને સતત પ્રગતિ કરવી એ આજના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર સાથેની વાતચીતમાં મુસ્કાને જણાવ્યું હતું કે તે દરરોજ ૭ થી ૮ કલાક નિયમિત અને કઠોર પ્રેક્ટિસ કરે છે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેનું લક્ષ્ય છે. શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને સમગ્ર શાળા પરિવારે પ્રજાપતિ મુસ્કાનને તેની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. ઠક્કરે જણાવ્યું હતું કે, “મુસ્કાન જેવી પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ શાળાનું સાચું ગૌરવ છે. આવી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે અને શાળા સંસ્કાર, શિસ્ત તથા પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે તેનો જીવંત પુરાવો છે.” AITA જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની ટુર્નામેન્ટમાં રનરઅપ બનવું એ ભવિષ્યમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મજબૂત પાયા સમાન છે. મુસ્કાનની આ સિદ્ધિ સમાજ માટે સશક્ત સંદેશ આપે છે.
પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલય, પાટણ ખાતે પુલવામા હુમલામાં શહીદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાંગણમાં શહીદોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળીને કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો દ્વારા શહીદોના બલિદાનને યાદ કર્યું. શાળાના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર જવાનો આપણા સાચા હીરો છે અને તેમના બલિદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને દેશપ્રેમ, એકતા અને કર્તવ્યનિષ્ઠા અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે શહીદોના આદર્શોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી. વિદ્યાર્થીઓએ હાથમાં દીવા અને ફૂલ લઈને શહીદોની તસ્વીરો સામે નમન કરીને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર શાળા પરિવારે દેશ માટે બલિદાન આપનાર શહીદ જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો.
ધ્રાંગધ્રામાં જુગારધામ પર દરોડો, 5 ઝડપાયા:રૂ. 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત, વધુ તપાસ શરૂ
સુરેન્દ્રનગર એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ ફોન, મોટરસાયકલ અને કાર સહિત કુલ રૂ. 6,77,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે, રાજસીતીપુર ગામથી પથુગઢના પાટિયા તરફ જતા રોડ પાસે ખાંભડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં એરંડાના પાકની આડમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 1,76,900 રોકડા, 6 મોબાઈલ ફોન (કિંમત રૂ. 40,500), 5 મોટરસાયકલ (કિંમત રૂ. 1,60,000) અને 1 સ્વીફ્ટ કાર (કિંમત રૂ. 3,00,000) સહિત કુલ રૂ. 6,77,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં અંકિત ડાયાભાઈ પટેલ (રહે. ગુજરવદી), સંજયભાઈ પોપટભાઈ પરેસા (રહે. ગુજરવદી), તળશીભાઈ મગનભાઈ પટેલ (રહે. ગુજરવદી), સુરેશભાઈ હનુભાઈ ચૌહાણ (રહે. કોંઢ કંકેશ્વર વાડી વિસ્તાર) અને સુભાષભાઈ રતુભાઈ ગોયલ (રહે. કોંઢ મોરબીપરા) નો સમાવેશ થાય છે. આ તમામ ધ્રાંગધ્રા તાલુકાના રહેવાસી છે. આ ઉપરાંત, સુરપાલસિંહ ઉર્ફે સુરૂભા દાજીભા સોલંકી (રહે. ખાંભડા) સહિત કેટલાક અન્ય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે ત્રણ મોટરસાયકલ અને એક સ્વીફ્ટ ગાડીના અજાણ્યા ચાલકો/માલિકો વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા બહેરામપુરાના સંતોષનગર ગરીબ આવાસ યોજના ખાતે 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનનો 214મો 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' હતો, જેનો લાભ બાળકો અને મહિલાઓએ લીધો હતો. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, ગરીબ આવાસ યોજના, સંતોષનગર, બહેરામપુરા ખાતે યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમ શ્રમજીવી પરિવારોને પોષણયુક્ત ભોજન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમના સફળ સંચાલનમાં રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, વસંતભાઇ, જ્યોત્સનાબેન, બાબુલકાકા, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ પણ કાર્યક્રમની વ્યવસ્થામાં સુંદર સહયોગ આપ્યો હતો.
એસ.વી. કોલેજમાં વાર્તા કથન પર વિશેષ વ્યાખ્યાન:કનુ પટેલે સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિના લાભો સમજાવ્યા
એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે 10 ફેબ્રુઆરી, 2026 ના રોજ 'વર્ગખંડમાં વાર્તા કથન: એક સર્જનાત્મક અભિગમ' વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગખંડ શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવાનો હતો. આ વ્યાખ્યાનમાં એસ.વી. હાઈસ્કૂલના શિક્ષક કનુ પટેલે વાર્તા કથનના શૈક્ષણિક મહત્વ અને વર્ગખંડમાં તેના લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વાર્તા કથન વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિ, સાંભળવાની ક્ષમતા, ભાષાકૌશલ્ય અને મૂલ્યશિક્ષણને અસરકારક રીતે વિકસાવવામાં મદદરૂપ થાય છે. કનુ પટેલે ઉદાહરણો સાથે સમજાવ્યું કે વર્ગખંડમાં વાર્તા કથન કેવી રીતે એક સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિ તરીકે ઉપયોગી બની શકે છે. તેમણે તાલીમાર્થીઓને વાર્તા કથન માટે વ્યાવહારિક સૂચનો પણ આપ્યા, જેથી તેઓ તેને પોતાના શિક્ષણમાં અપનાવી શકે.તેમના વ્યાખ્યાનથી તાલીમાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે નવી દૃષ્ટિ અને ઉત્સાહ જોવા મળ્યો. આવા સર્જનાત્મક અભિગમ આધારિત કાર્યક્રમો શિક્ષક તાલીમમાં નવી ઊર્જા પૂરી પાડે છે અને ભવિષ્યના શિક્ષકોને અસરકારક શિક્ષણ માટે સજ્જ બનાવે છે.સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સિપાલ ડૉ. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ ડૉ. તેજસ ઠક્કરે કર્યું હતું.
દિવાન બલ્લુભાઈ એલ્યુમ્ની એસોસિએશન દ્વારા રવિવારે 'ફ્યુઝન ફિયેસ્ટા 2026' નામનો એક વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના 1968 થી 2024 સુધીની બેચના આશરે 50 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં વાંસળી અને તબલાવાદનની જુગલબંદી, ગુજરાતી ફિલ્મ સંગીત અને ગરબાની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મહાન અભિનેતા-દિગ્દર્શક રાજકપૂરને શ્રદ્ધાંજલિ આપતી ડાન્સ પ્રસ્તુતિ, બોલિવૂડના કલાકારોની ઝાંખી દર્શાવતો 'બોલિવૂડ ફેશનિસ્ટા' અને દર્શકો માટે 'ઓપન માઇક' જેવા વિભાગો પણ સામેલ હતા. વિવિધ ડાન્સ અને ફિલ્મી ગીતોની પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન, મંચ પરની પ્રસ્તુતિઓને અનુરૂપ LED સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ દર્શાવવામાં આવ્યા હતા. આનાથી દર્શકોને એક સિનેમેટિક અનુભવ મળ્યો હતો. એસોસિએશન સાથે સંકળાયેલા પૂર્વ વિદ્યાર્થીઓ, જાણીતા ઉદ્ઘોષક રોહન શાહ અને કોરિયોગ્રાફર અમી પરીખે જણાવ્યું હતું કે, તમામ સહભાગીઓએ પોતાના વ્યવસાય અને દૈનિક કાર્યોની સાથે છેલ્લા બે મહિનાથી સઘન પ્રેક્ટિસ કરી હતી. આ સઘન પ્રેક્ટિસના પરિણામે એક વ્યાવસાયિક કાર્યક્રમ જેવું આયોજન શક્ય બન્યું હતું.
કાંકરિયા શાળામાં મહાશિવરાત્રીની ઉજવણી:વિદ્યાર્થીઓ, શિક્ષકોએ શિવલિંગ પૂજા કરી, મંત્રજાપ કર્યા
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સેવિકાબહેનોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે, દરેક વર્ગમાંથી પ્રતિનિધિ વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા સેવિકાબહેનો દ્વારા શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભગવાન શિવની આરતી કરવામાં આવી હતી અને ૧૦૮ વખત “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરાયો હતો. શિક્ષિકા રૂચિતાબહેન શાહે બાળકોને મહાશિવરાત્રીના પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સરળ ભાષામાં સમજાવ્યું હતું. શિશુવર્ગ અને બાળવર્ગના વિદ્યાર્થીઓએ સુંદર શિવભક્તિ નૃત્ય રજૂ કરીને વાતાવરણને શિવમય બનાવ્યું હતું. આ સમગ્ર આયોજન ઇન્ચાર્જ શિક્ષિકા ભૂમિકાબહેન મહેતા અને રૂચિતાબહેન શાહના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું હતું. સંગીત શિક્ષક હર્ષદભાઈ પટેલે કાર્યક્રમનું અસરકારક રીતે સંચાલન કર્યું હતું.અંતમાં, કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબહેન રાવળે આ સુંદર આયોજન બદલ ઇન્ચાર્જ શિક્ષકો તથા તમામ સહભાગીઓને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
આરોપી સંદીપ યાદવની જામીન અરજી નામંજૂર:વાપી કોર્ટે સરીગામ હત્યા કેસમાં આરોપીની જામીન અરજી ફગાવી
વલસાડ જિલ્લાની વાપી અદાલતે સરીગામ હત્યા કેસમાં પુરાવા નાશ કરવાના આરોપી સંદીપ ઉર્ફે રાકા શ્રીરામ યાદવની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. એડિશનલ સેશન્સ જજ એચ. એન. વકીલે ગુનાની ગંભીરતા અને અન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો હતો. આરોપી સંદીપ ઉર્ફે રાકા શ્રીરામ યાદવ (રહે. દેવરીયા, ઉત્તર પ્રદેશ) સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ) અને 114 હેઠળ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસ વર્ષ 2015નો છે, જ્યારે સરોજ રામદરશ ચૌધરી સરીગામ ખાતેથી ગુમ થયા હતા. ગુમ થયાના થોડા સમય બાદ સરીગામ GEB ઓફિસ નજીક ઝાડીઓમાંથી તેમનો માનવ કંકાલ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પૈસાની અદાવતમાં આરોપીઓએ તેમની હત્યા કરી હતી અને ગુનાને છુપાવવા માટે મૃતદેહ ફેંકી દીધો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આરોપી લાંબા સમય સુધી ફરાર હતો અને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાથી ફરીથી ભાગી જવાની શક્યતા છે. તેમણે એમ પણ જણાવ્યું કે આરોપીને જામીન મળે તો તે કેસના સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા ધમકાવી શકે છે. અદાલતે નોંધ્યું કે આ ગુનો અત્યંત ગંભીર પ્રકૃતિનો છે. અગાઉ પણ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અદાલતે સંદીપ યાદવની નિયમિત જામીન અરજી ફગાવી દીધી.
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં 13ફેબ્રુઆરીના રોજ દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં મોહનથાળ પીરસવામાં આવ્યો હતો અને અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ પણ યોજાયો હતો. શાળાના સેવિકા ભીલ રમીલાબેનના સુપુત્રના લગ્નની ખુશીમાં શાળાના તમામ બાળકોને મધ્યાહન ભોજનની સાથે સ્વાદિષ્ટ અને ચોખ્ખા ઘીનો મોહનથાળ પીરસવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને તેમને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધાનો શિકાર બનતા અટકાવવાનો હતો. આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર પ્રેરિત અખિલ આંજણા કેળવણી મંડળ – પાટણ સંચાલિત પુનભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા યોજાયો હતો. શ્રી દર્શનભાઈ ચૌધરીએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રયોગો દ્વારા અંધશ્રદ્ધા પાછળના વિજ્ઞાનને સમજાવવામાં આવ્યું હતું. જેમાં કોરા કાગળ પર અક્ષરો છાપવા, પાણીને રંગીન કરવું અને તેનો રંગ દૂર કરવો, લાલ દોરાને કાળો કરવો, લીંબુમાંથી લોહી કાઢવું, સૂકા ઘાસમાં આગ લગાડવી, રૂમાલમાં આગ લગાડવી અને નાળિયેરમાંથી ચુંદડી કે લોહી કાઢવા જેવા પ્રયોગોનો સમાવેશ થાય છે. આ પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આસપાસના લોકોને અંધશ્રદ્ધા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને તેમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં રહેતા એક યુવાનને તેના મિત્રની તરફદારી કરવાનું મોંઘું પડ્યું છે મિત્રની તરફદારીથી નારાજ ત્રણ શખ્સોએ યુવાન પર પાઇપ, લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાને ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આ બનાવ અંગે ગારીયાધાર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર શહેરમાં જીવાણી શેરીમાં રહેતો અને હેર સલૂન માં કામ કરતો મિલન ચંદુલાલ વાજા ઉ.વ.40 ગઈકાલે બપોરના સમયે પચ્છેગામ રોડ પર આવેલ સેનરાજ હેર આર્ટ સલૂન બહાર ઉભો હોય એ દરમિયાન ગારીયાધાર શહેરમાં રહેતા મનીષ શાંતિલાલ ચૌહાણ, તેનો ભાઈ રાજદીપ શાંતિલાલ ચૌહાણ, અને અમરેલીનો પૃથ્વી વાઘેલા તેની પાસે લાકડી અને પાઇપ સાથે આવ્યા હતા અને મનીષે મિલનને કહેલ કે તું સંજય બગથરીયાની તરફદારી બોવ કરે છે તેમ કહી ગાળો આપતા મિલને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલ ત્રણેય શખ્સોએ મિલન પર પાઇપ લાકડી વડે હુમલો કરી લોહિયાળી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત મિલનને સારવાર અર્થે ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સારવાર બાદ તેણે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ શહેરના સરખેજમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ એસિડ પીને આપઘાત કર્યો છે. લગ્નના બે મહિના બાદ જ પતિ પત્નીને નાની-નાની બાબતોમાં ત્રાસ આપવા લાગ્યો હતો. ઘરખર્ચ અને દવાના રૂપિયા પણ આપતો ન હતો. પત્નીને ઘરમાંથી કાઢી મૂકવા ધમકી આપતો હતો. આ અંગે મૃતકની માતાએ જમાઈ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને ત્રાસ આપતોવસ્ત્રાલમાં રહેતા પુનમબેન શાક્ય શાકભાજીનો ધંધો કરે છે. પૂનમબેનની 23 વર્ષીય પુત્રી સાક્ષીએ ત્રણ વર્ષ પહેલા સરખેજના કીશન ભરવાડ સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. લગ્નના બે મહિના સુધી પતિએ પત્નીને બરોબર રાખી હતી. બાદમાં તે નાની-નાની બાબતોમાં પત્ની સાથે ઝઘડો કરીને ત્રાસ આપવા લાગ્યો હતો. સાળીના લગ્નમાં પણ તે પત્નીને મૂકીને જતો રહ્યો હતો. ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતોપતિએ પત્નીને તારા સાથે લગ્ન કરીને મારી સમાજમાં બદનામી થઇ છે હું તને ઘરે રાખવા માંગુ છુ તો હું અને મારા માતા-પિતા કહે તેમ કરવું પડશે નહિ, તો ઘરમાંથી કાઢી મૂકીશ તેવી ધમકી આપતો હતો. આટલું જ નહીં ઘરખર્ચના અને પુત્રોની દવાના રૂપિયા પણ પત્નીને આપતો ન હતો. પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કરી લીધોજેથી પરિણીતા પિયર જતી ત્યારે સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવતી હતી. ત્યારે બે દિવસ પહેલા પુનમબેન ભત્રીજીની અસ્થિ વિર્સજન કરીને પુત્રી સાક્ષીને તેના ઘર પાસે ઉતારીને જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે જ પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકની માતાએ જમાઇ કીશન સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.
વી.આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાની ધોરણ 7ની વિદ્યાર્થીની હીર ગણપતભાઈ પટેલે રાજપીપળા ખાતે યોજાયેલી સ્ટેટ લેવલ જિમ્નાસ્ટિક સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીત્યા છે. આ સિદ્ધિ દ્વારા હીરે શાળા, સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે.શાળા પરિવારે હીર અને તેમના કોચને તેમની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ધોરણ 10નો શુભેચ્છા સમારંભ યોજાયો:ઉત્તર બુનિયાદી વિદ્યાલય સેવાળામાં વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ
ઉત્તર બુનિયાદી વિદ્યાલય સેવાળા ખાતે તારીખ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈદિક વિચાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિભુવનભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી આશ્રમ ઝીલીયાના નિયામક ભલાભાઈ સાહેબ સહિત અન્ય આમંત્રિત મહેમાનો પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે હાજર રહ્યા હતા. મહેમાનોએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અને શાળાનું પરિણામ ઉંચુ લાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે, ચેલાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે ભલાભાઈ સાહેબે સેવા આપી હતી. શાળાના આચાર્ય અલ્પેશભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક અલ્કેશભાઈ દેસાઈ અને શાળા પરિવારે કર્યું હતું.
વીર નર્મદ યુનિવર્સિટીમાં ONOS અને INFLIBNET સેમિનાર:કુલપતિ ડૉ. ચાવડાએ ONOS યોજનાનું મહત્વ સમજાવ્યું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે ONE NATION ONE SUBSCRIPTION (ONOS) તથા INFLIBNET SERVICE વિષય પર એક ઓફલાઈન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનું આયોજન મધ્યસ્થ ગ્રંથાલયના ઇ.ચા. ગ્રંથપાલ ડૉ. પારુલબેન આર. પટેલ અને જ્ઞાન સંસાધન કેન્દ્રના નિયામક ડૉ. પરેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વક્તા તરીકે INFLIBNET Centre, ગાંધીનગરના વૈજ્ઞાનિક (લાઇબ્રેરી સાયન્સ) શ્રી પલ્લબ પ્રધાન અને STO-I (લાઇબ્રેરી સાયન્સ) ડૉ. રોમા અસનાની હાજર રહ્યા હતા. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ કેન્દ્ર સરકારની One Nation One Subscription (ONOS) યોજનાની ઉપયોગીતા અને મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ, ડૉ. રોમા અસનાનીએ ONOS યોજનાના લાભો, કાર્યપદ્ધતિ અને તેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપી હતી. પલ્લબ પ્રધાને INFLIBNET Centre દ્વારા ઉપલબ્ધ વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ, અધ્યાપકો, સંલગ્ન કોલેજોના આચાર્યો, ગ્રંથપાલો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે, આભારવિધિ સાથે સેમિનારનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.
ગિરનારની પવિત્ર તળેટીમાં આયોજિત શિવરાત્રી મીની કુંભ મેળાનો ત્રીજો દિવસ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટનાનો સાક્ષી બન્યો છે. જૂનાગઢના મુચકુંદ મહાદેવ મંદિર ખાતે આયોજિત ભવ્ય દીક્ષા મહોત્સવમાં દેશભરમાંથી આવેલા 108 થી વધુ સંસારી પુરુષો અને મહિલાઓએ માયાવી સંસારનો ત્યાગ કરી ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે. ગગાચાર્ય પીઠાધીશ્વર જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજની નિશ્રામાં અને શ્રી પંચદશનામ જૂના અખાડાની પ્રાચીન પરંપરા મુજબ આ તમામ મુમુક્ષુઓએ સન્યાસ દીક્ષા ગ્રહણ કરી સનાતન ધર્મના પંથે ચાલવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. સંસારથી સન્યાસ સુધીની કઠિન પ્રક્રિયા સનાતન ધર્મમાં સન્યાસ ધારણ કરવો એ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક નવો જન્મ ગણાય છે. આ દીક્ષા મહોત્સવમાં જે 108 લોકોએ સન્યાસ લીધો છે, તેઓ છેલ્લા આઠ દિવસથી ભવનાથની તળેટીમાં કઠિન સાધના અને પ્રભુ ભક્તિમાં લીન હતા. સન્યાસ આપતા પૂર્વે અખાડાની પરંપરા મુજબ અનેક વિધિઓ કરવામાં આવી હતી. દીક્ષા લેનાર વ્યક્તિએ સૌ પ્રથમ પોતાનું પિંડદાન કરવું પડે છે, જેનો અર્થ એ છે કે હવે તે વ્યક્તિ પોતાના પરિવાર અને ભૂતકાળ માટે મૃત સમાન છે અને તેનો પુનર્જન્મ એક સાધુ તરીકે થયો છે. ત્યારબાદ વિધિવત મુંડન કરવામાં આવ્યું હતું અને પવિત્ર ગંગાજળ કે કુંડના જળથી સ્નાન કરાવીને તેમને સનાતન ધર્મના પ્રતીક સમાન ભગવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ભસ્મ ધારણ અને અલખનો આરાધ સન્યાસ ધારણ કરનાર દરેક સાધકના શરીર પર ગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા પવિત્ર ભસ્મ ચોળવામાં આવી હતી. આ ભસ્મ એ વાતનું પ્રતીક છે કે મનુષ્યનું શરીર નાશવંત છે અને અંતે તે રાખમાં મળી જવાનું છે. ભસ્મ ધારણ કર્યા બાદ આ તમામ નવદીક્ષિત સન્યાસીઓએ જગતગુરુને પોતાના ગુરુ તરીકે સ્વીકારીને અલખના આરાધ માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પવિત્ર અવસરે મુચકુંદ મહાદેવ મંદિરનું પરિણામ 'હર હર મહાદેવ' અને 'જય સનાતન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ અત્યાર સુધીમાં 1300 થી વધુ લોકોને દીક્ષા આપી સનાતન માર્ગે વાળી ચૂક્યા છે. રાષ્ટ્રહિત અને સનાતન ધર્મની રક્ષાનો સંકલ્પ દીક્ષા મહોત્સવ દરમિયાન જગતગુરુએ નવદીક્ષિત સન્યાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે સાધુનો મુખ્ય ધર્મ માત્ર માળા ફેરવવાનો નથી, પરંતુ સનાતન ધર્મની રક્ષા અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે આ સન્યાસીઓએ રાષ્ટ્રધર્મને સર્વોપરી માનીને મેદાનમાં આવવા તત્પર રહેવું પડશે. સાધુ જીવનમાં તન, મન અને ધનથી સમાજની સેવા એ જ સાચી હરિભક્તિ છે. આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે લોકો સંસાર પાછળ દોડી રહ્યા છે, ત્યારે ૧૦૮ લોકોએ એકસાથે સંસાર ત્યાગ કર્યો તે સનાતન ધર્મની જીવંતતાના દર્શન કરાવે છે. રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ આ આધ્યાત્મિક પ્રસંગે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાણામંત્રી કમલેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ આ દીક્ષા મહોત્સવમાં હાજરી આપી નવદીક્ષિત સન્યાસીઓના આશીર્વાદ લીધા હતા.મહાનુભાવોએ પણ જણાવ્યું હતું કે ગિરનારની આ પવિત્ર ભૂમિ પર દીક્ષા લેવી એ પરમ સૌભાગ્યની વાત છે અને આ નવદીક્ષિત સન્યાસીઓ સમાજમાં ધર્મનો પ્રસાર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. શિવરાત્રીના મીની કુંભમાં એક તરફ લાખો ભાવિકો મેળાનો આનંદ માણી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભવનાથની ગુપ્ત ગુફાઓ અને અખાડાઓમાં આ પ્રકારે આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ રહી છે. આ 108 નવા સન્યાસીઓ હવે દેશભરમાં ભ્રમણ કરી સનાતન સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરશે.
ખેડા જિલ્લાના માતર તાલુકાના રધવાણજ ગામ ખાતે ₹ 1.60 કરોડના ખર્ચે નિર્મિત નવીન પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે થયું હતું.આ પ્રસંગે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. આ નવી શાળા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર શિક્ષણને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની સાથે સંસ્કાર અને મૂલ્યોમાં પણ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અમિત મકવાણા, અમુલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, સંગઠન પ્રમુખ મનોજસિંહ રાઠોડ, સરપંચ દીપકભાઈ, શિક્ષણગણ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
માંડવી હોમગાર્ડ સભ્ય નીતિન ગામીતનું અવસાન:હોમગાર્ડ યુનિટ દ્વારા પરિવારને ₹13,800 ની આર્થિક સહાય
માંડવી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા સભ્ય નીતિન ગામીત નું ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ અવસાન થયું હતું. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી, માંડવી હોમગાર્ડના અધિકારીઓ અને સભ્યો દ્વારા તેમને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. હોમગાર્ડ યુનિટના અધિકારીઓ અને સભ્યોએ સ્વૈચ્છિક રીતે ફાળો એકત્ર કર્યો હતો. આ પ્રયાસથી કુલ ₹13,800ની રકમ ભેગી થઈ હતી. આજે આ એકત્રિત રકમ નીતિન ગામીતના પરિવારને સુપરત કરવામાં આવી હતી. આ સહાયથી પરિવારને કપરા સમયમાં થોડી રાહત મળશે.
મહુધાના સણાલી ખાતે આવેલી ધી ન્યૂ ઈંગ્લિશ સ્કૂલને લાયન્સ ક્લબ-નડિયાદના સહયોગથી દાતા કનક સોની દ્વારા વોટર પ્યુરીફાયર અને ચિલ્ડ વોટર કૂલર મશીનનું દાન કરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓને શુદ્ધ અને ઠંડું પીવાનું પાણી મળી રહે તે હેતુથી આ મશીનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણ પ્રસંગે દાતાઓ, લાયન્સ ક્લબના પ્રમુખ અને ગવર્નર, શાળાનું ટ્રસ્ટી મંડળ, આચાર્ય, સરપંચ, નડિયાદ તાલુકા પૂર્વ ભાજપ સંગઠન પ્રમુખ, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના હાઈસ્કૂલના બાળકોને પીવાનું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તે માટે સંસ્થાના સહયોગથી આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. સણાલી ગામના વતની અને હાલ નડિયાદ નિવાસી મહેશ શર્માના પ્રયત્નો થકી આ સંસ્થાએ શાળાની પસંદગી કરી હતી, જેના માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી હતી. જેમાં એક મૂકબધિર યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી અભિષેકકુમાર મોતીલાલ શાહની પોલીસને સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી મોટી કડી મળી ને ટેકનિકલ સર્વેલન્સ સહિતની મદદથી નવસારીના વેસ્મા ખાતેથી દબોચી લીધો છે. પોલીસે અત્યંત સંવેદનશીલતા દાખવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુંકલ્પના કરો કે તમારી સાથે કંઈક અત્યંત ભયાનક ઘટી રહ્યું છે, તમે મદદ માટે બૂમ પાડવા માંગો છો પણ અવાજ નીકળતો નથી. તમે રડવા માંગો છો પણ તમારી વેદના કોઈ સમજી શકતું નથી. સુરતના ઇચ્છાપોરના ભટલાઇ ગામની એક મૂકબધિર યુવતી સાથે બરાબર આવું જ થયું. પણ આ મૌન વચ્ચે જ્યારે 'મૂકબધિર વિકાસ ટ્રસ્ટ' અને પોલીસની સંવેદનશીલતા ભળી, ત્યારે એક એવો ન્યાય તોળાયો જેની ચર્ચા આખા સુરતમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 21 વર્ષીય આરોપી અભિષેક શાહ છેલ્લા એક વર્ષથી ભોગ બનનાર યુવતીના પરિચયમાં હતો. ભોગ બનનાર યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાથી આરોપીએ તેની આ શારીરિક મર્યાદાનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. આરોપીએ યુવતીના અંગત ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ધમકીના આધારે આરોપીએ યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને ગુનો આચરી ફરાર થઈ ગયો હતો. સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી પોલીસને મોટી કડી મળીઆ કેસમાં સૌથી મોટો પડકાર ભોગ બનનાર યુવતીની આપવીતી સમજવાનો હતો. યુવતી બોલી શકતી ન હોવાથી પોલીસ માટે ઘટનાની કડીઓ મેળવવી મુશ્કેલ હતી. આ સમયે પોલીસની મદદે મૂકબધિર વિકાસ ટ્રસ્ટ આવ્યું હતું. ટ્રસ્ટના મદદનીશ શિક્ષકની વિશેષ સહાય લેવામાં આવી હતી. જેમણે સાઇન લેંગ્વેજ દ્વારા યુવતી સાથે વાતચીત કરી હતી. આ અનુવાદના આધારે યુવતીએ પોતાની સાથે થયેલા અન્યાયની વિગતવાર વિગતો આપી હતી, જેના પગલે ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીએ અંગત પળોના ફોટા ચોરીછુપીથી પાડી લીધાઆ ઘટનાની શરૂઆત એક વર્ષ પહેલા થઈ હતી. બિહારના સારણ જિલ્લાનો વતની અને શ્રમિક એવો અભિષેકકુમાર મોતીલાલ શાહ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી બોલી કે સાંભળી શકતી નહોતી, તેથી અભિષેકે તેની નિર્દોષતાનો ગેરફાયદો ઉઠાવી વિશ્વાસ જીત્યો. પરંતુ, આ મિત્રતા પાછળ એક રાક્ષસી ઈરાદો છુપાયેલો હતો. અભિષેકે યુવતીના અંગત પળોના ફોટા ચોરીછુપીથી પાડી લીધા હતા. યુવકે વારંવાર તેની પર બળાત્કાર ગુજાર્યોઆ ફોટાનો આરોપીએ યુવતીનું શોષણ કરવા માટે હથિયાર બનાવીને અડપલા કર્યાં. 'જો તું મારી વાત નહીં માને, તો આ ફોટા આખા ગામમાં અને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ'-આ ધમકી તેણે ઈશારાઓ અને મેસેજ દ્વારા આપી યુવતીનું માનસિક શોષણ શરૂ કર્યું અને વારંવાર તેની પર બળાત્કાર ગુજાર્યો. આંખના ઇશારાઓએ એવી કહાની કહી જે સાંભળીને પોલીસ હચમચી ગઈજ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો, ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે પીડિતા પોતાની વાત કહેશે કેવી રીતે? અહીં એન્ટ્રી થઈ મૂકબધિર વિકાસ ટ્રસ્ટના નિષ્ણાતોની. પોલીસે તાત્કાલિક ટ્રસ્ટના મદદનીશ શિક્ષકની મદદ લીધી હતી. રૂમમાં જ્યારે શાંતિ હતી, ત્યારે શિક્ષકના હાથના હલનચલન અને યુવતીના આંખના ઇશારાઓએ એક એવી કહાની કહી જે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ. તે માત્ર ઈશારાઓ નહોતા, પણ એક નરાધમની કરતૂતોનો જીવતો જાગતો પુરાવો હતો. શિક્ષકે યુવતીના દરેક સંકેતને શબ્દોમાં ઢાળ્યા અને પોલીસને સમજાવ્યું કે કેવી રીતે તેને 'ફોટા વાઇરલ' કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. નવસારીમાં છુપાયેલા આરોપીનું લોકેશન ટ્રેસ ને દબોચી લીધોટ્રસ્ટની મદદથી એકવાર હકીકત સામે આવી એટલે ઇચ્છાપોર પોલીસે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આરોપી અભિષેક ગુનો કરીને નવસારીના વેસ્મા ખાતે નાસી છૂટ્યો હતો અને ત્યાં છુપાઈને રહેતો હતો. તેને એમ હતું કે મૂકબધિર યુવતી ક્યારેય કોઈને કંઈ કહી શકશે નહીં. પરંતુ પોલીસના ટેકનિકલ સર્વેલન્સ અને પીડિતાએ આપેલા વર્ણનના આધારે પોલીસે લોકેશન ટ્રેસ કર્યું. ઇચ્છાપોર પોલીસની ટીમે નવસારીમાં તવાઈ બોલાવી અને આરોપીને દબોચી લીધો. એક શ્રમિક યુવક જેણે માની લીધું હતું કે તે કાયદાના હાથમાંથી બચી જશે, તેને ટ્રસ્ટના એક શિક્ષકના 'સાઇન લેંગ્વેજ' ના જાદુએ જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ‘યુવતી સાંભળી અને બોલી શકતી નથી’એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા એક યુવતી, જે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે તેની ફરિયાદ મળતા FIR નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. આ યુવતી સાંભળી અને બોલી શકતી નથી. તેણે પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ પણ વાંચો યુવતી પર હોટલમાં દુષ્કર્મ આચર્યું, વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ કર્યોસુરત શહેરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતીને લગ્નની લાલચ આપી યુવક સુરતની હોટલમાં લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરી અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં યુવતી સાથે કોઈ કારણે સંબંધ તોડી નાખીને જે વીડિયો હતો એ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેતાં યુવતીએ પસ્તાવાનો વારો આવ્યો છે. આ મામલે યુવક સામે ફરિયાદ કરતાં પોલીસે મહેસાણાથી દબોચી લીધો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) અંગત પળોનો વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કરી બે મિત્ર-પિતરાઈને સોંપી:વર્ષ સુધી યુવતીને હવસનો શિકાર બનાવીસુરતમાં પત્ની-સંતાન હોવાની વાત છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યૌનશોષણ કર્યા બાદ અશ્લીલ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બે મિત્ર અને પિતરાઈ સહિત બીજા ત્રણને સોંપી દેનાર મુખ્ય સૂત્રધાર અશોક સીઢાને ભાવનગરના મહુવાથી દબોચી લેવાયો હતો. તેના બીજા સાગરીતને અમરેલીના ભારવડી ગામથી પકડવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) ફ્રેન્ડનો બર્થ-ડે ઉજવવા કોટાથી સુરત પહોંચીને યુવકે 20 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુંસુરતમાં એક યુવતીને નશાકારક ઈન્જેકશન આપી બે શખસોએ વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યું છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મહંમદ તોહીદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મહંમદે સુરત આવેલી યુવતીને નશાકારક ઈન્જેકશન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
રાજકોટ શહેરના મનહર પ્લોટમાં રહેતા આધેડે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીતેન્દ્રભાઈ માણેકલાલ પતરિયા (ઉ.વ.45) નામના આધેડ આજે વહેલી સવારે પોતાના ઘરે હતા ત્યારે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક જીતેન્દ્રભાઈને સંતાનમાં બે દીકરી છે અને પોતે બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને પોતે ન્યૂઝ પેપરના ફેરિયા અને એજન્ટ તરીકે કામ કરતો હતો. નિવૃત ASIનો ગળેફાંસો ખાઈ આપઘાત જામનગર રોડ ઉપર મોચીનગર શેરી નં.6માં રહેતા નિવૃત્ત ASI ઈકબાલભાઈ આમદભાઈ સુમરા (ઉ.વ.65)એ આજે વહેલી સવારે પોતાના ઘરે બારીમાં નાઈલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો સવારે જોતા ઈકબાલભાઈ લટકતી હાલતમાં મળી આવ્યા હતાં અને 108ને જાણ કરતા EMTએ તપાસી મૃત જાહેર કરી બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ઈકબાલભાઈ અગાઉ પોલીસ હેડક્વાટરમાં ASI તરીકે ફરજ બજાવતા હતાં. હાલમાં તેઓ નિવૃત્ત હોય અને તેમને માનસીક બિમારી હતી જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બહેનને ભગાડી જનાર યુવકની કાર ભાઈએ સળગાવી નાખી વિજય પ્લોટ શેરી નં.10માં રહેતા ચીરાગ બોદુભાઇ ધોરી (ઉ.વ.42)એ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાણાવટી ચોક પાસે આવેલ આરએમસી કાવર્ટરમાં રહેતા વિમલ ઉર્ફે ભાયો સતીષભાઇ અગ્રાવતનું નામ આપ્યુ છે. તેણે 15 દિવસ પહેલા આરએમસી કવાર્ટરમાં રહેતા તેના ભત્રીજા રાજ ચૌહાણને તેની બ્રેઝા કાર હંકારવા માટે આપી હતી દરમ્યાન આજે વહેલી સવારે રાજનો તેને ફોન આવેલો અને આરોપી વિમલ અગ્રાવતે કાર સળગાવી નાખ્યાનું જણાવ્યુ હતુ જેથી તેઓ તાત્કાલીક દોડી જતા ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવી નાખી હતી. તેનો પુત્ર સાહીદ આરોપી વિમલ અગ્રાવતની બહેનને ભાગડી ગયો હતો જે બાબતનો ખાર રાખી ગત તા.9ના રોજ વિમલે તેમને વોટસએપ કોલ કરી જૂના કેસમાં સમાધાન કરી લે નહીતર છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખીશ અને તારી કાર સળગાવી નાખશી તેવી ધમકી આપી હતી. દરમ્યાન આજે આરોપીએ RMC કવાર્ટરના પાર્કિંગમાં પડેલી તેમની કાર સળગાવી નાખી હતી આ અંગે યુનિવર્સીટી પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી ઉલટી ઉબકાના બહાના કરી ખિસ્સા હળવા કરતી ગેંગ ઝડપાઈ રાજકોટના અયોધ્યા ચોક પાસે રીયા એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઇ ધરતી (ઉ.વ.42) ગઇ તા.11 ના રોજ કેકેવી ચોકમાં આવેલી શોપથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતાં જેમાં અગાઉથી એક મહિલા અને પુરૂષ મુસાફર તરીકે બેઠા હતાં. રસ્તામાં પુરૂષ મુસાફરે ઉલ્ટી અને ઉબકાના નાટક કરતા રિક્ષાચાલકે મહેશભાઇને રામાપીર ચોકડી પાસે ભાડુ લીધા વગર ઉતારી દીધા હતાં. બાદમાં તેમને શંકા જતા ખિસ્સામાં જોતા રૂ.16 હજારની રોકડ સેરવી લીધાની જાણ થઇ હતી. જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી બાતમીના આધારે જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર પાસેથી રીક્ષા ગેંગને ઝડપી લીધી હતી. ઝડપાયેલ આરોપીઓમાં દિનેશભાઈ હીરાભાઈ કુંવરિયા (ઉ.વ.60) તેનો પુત્ર કિશન દિનેશભાઈ કુંવરિયા (ઉ.વ.35) અને પુત્રવધુ કાંતાબેન કિશનભાઇ કુવરિયા (ઉ.વ.32)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ.15,000 અને રીક્ષા સહિત રૂ. 65,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી દિનેશ રીક્ષા ચાલક હતો પરંતુ હાલમાં ધંધો બરોબર ચાલતો ન હોવાથી તેણે રીક્ષામાં મુસાફરને બેસાડી તેની પાસેથી રોકડ તફડાવી લેવાનું નક્કી કર્યું હતું અને આ માટે તેણે પુત્ર કિશન અને પુત્રવધુ કાન્તાને પણ સાથે રાખી ત્રણેય મળી મુસાફરને ખંખેરવાનો પ્લાન બનાવ્યો હતો. પેડક રોડ ઉપર આર્યનગરમાં મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજશોકથી દાઝી જનાર પ્રૌઢનું મોત રાજકોટના પેડક રોડ પર આર્યનગર શેરી નં.12 માં રહેતા જગદીશભાઈ જીવણભાઈ ગોરવાડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢ ગઈ તા.16જાન્યુઆરીના રોજ પોતાના ઘરે ત્રીજા માળે છતનું સેન્ટ્રીંગ કામ ચાલુ હતુ ત્યારે ત્યાંથી પસાર થતાં વીજતારને અકસ્માતે અડી જતાં વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં જેમાં તેઓને પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર રીતે દાજી જતાં તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું ગઈકાલે તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જગદીશભાઈ એક ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને પાનની કેબીન ચલાવતા હતા.તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળેલ છે.
ભાવનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી હતી, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ તથા સાયબર ફ્રોડના ગંભીર ગુનામાં છેલ્લા સમયથી પોલીસને થાપ આપી રહેલા વિદ્યાર્થી તુલશી ઉર્ફે તુષારને મહુવા તાલુકાના નીચા કોટડા ગામેથી ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ ના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, વડોદરાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી તુલશી ઉર્ફે તુષાર બાઘાભાઇ શિયાળ હાલ પોતાના વતન નીચા કોટડા ગામની જાદપર ચોકડી પાસે ઉભો છે, જે બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવીને શખ્સને ઝડપી પાડ્યો હતો, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે વડોદરા તાલુકા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ હતો, તુલશી ઉર્ફે તુષાર બાઘાભાઇ શિયાળ ઉં.વ.21 ઘંઘો-અભ્યાસ, રહે.નીચા કોટડા, ગ્રામ પંચાયતની બાજુમાં, તા. મહુવા, જી. ભાવનગર વાળાને ઝડપી લીધો હતો, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ BNSS ની કલમો 317(2), 318(4), 61(2) તેમજ આઇ.ટી. એક્ટની કલમ 66(સી) અને 66(ડી) હેઠળનો ગુન્હો નોંધાયો હતો, ભાવનગર પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને આગળની તપાસ અર્થે દાઠા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રબારી રામસી ભગુ પરિવારના કૂળદેવી શ્રી વિહત મેલડી માતાના નૂતન મંદિરનો ત્રણ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો હતો. આ મહોત્સવમાં પ્રતિષ્ઠા યજ્ઞ, રમેણ, રાસ ગરબા અને ભક્તિ સંગીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રુમાણા રબારી નેશમાં રહેતા રામસી ભગુ પરિવારના દીકરાઓ કરસનભાઈ, લાલજીભાઈ, દેવજીભાઈ અને ચેલાભાઈના પરિવારો દ્વારા આ ભવ્ય મંદિરનું નિર્માણ અંદાજે રૂપિયા 30 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. મંદિરમાં શ્રી વિહત માતા, મેલડી માતા, ચામુંડા માતા અને સિકોતર માતા સહિત દેવ પરિવારની સ્થાપના કરવામાં આવી છે. પ્રતિષ્ઠા યજ્ઞ હિતેશભાઈ કાનજીભાઈ દેસાઈના મુખ્ય યજમાન પદે સંપન્ન થયો હતો. આ યજ્ઞમાં 21 ભાઈઓના પરિવારના 11 સહ યજમાનો પણ સહભાગી થયા હતા. ચવેલીના ગુરુ બળદેવદાસ બાપુએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.રમેણ કાર્યક્રમમાં પરિવારના ભુવાજી ગેમરભાઈ, વિજયભાઈ તેમજ ગામના મફાભાઈ, હાર્દિકભાઈ અને જેરામભાઈ સહિત એકસો જેટલા ભુવાજીએ માતાજીને કાલાવાલા કર્યા હતા. આ ઉપરાંત, જાણીતા કલાકારો દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો.આ પ્રસંગે સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મહોત્સવ દરમિયાન ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન અધેવાડા ગામે આવેલ દેવીપુજક વાસ માં રેડ કરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી જ્યારે રેડ દરમિયાન બુટલેગર ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભરતનગર પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે અધેવાડા ગામે દેવીપુજક વાસમાં રહેતા પોપટ ધારશી પરમારના ઘરે રેડ કરતા ઘર પાછળ આવેલ વાડાના નેરામાં ગેરકાયદે ધમધમથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી, પોલીસ જવાનોએ સ્થળ પરથી તૈયાર દેશી દારૂ તથા દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો આથો અને દારૂ પાડવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂપિયા 82,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે રેડ દરમિયાન બુટલેગર પોપટ ધારશી પરમાર ફરાર થઈ જતા ભરતનગર પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી દેશી દારૂ તથા આથાનો નાશ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગોધરાના શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે 'માતૃ-પિતૃ પૂજન' દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત વિવિધ શાળાઓ દ્વારા ભારતીય સંસ્કારોના જતન હેતુ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં વાલીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડૉ.ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા, અનાજ મહાજન પ્રાથમિક શાળા અને બ્રાઈટમેટ ઇન્સ્ટિટ્યૂટના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભુપેશકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શ્રી શરદ શાહ કોલેજના પ્રિન્સિપાલ નીતાબેન શાહ પણ હાજર હતા, જેમણે વિદ્યાર્થીઓને માતા-પિતાના આશીર્વાદનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. બાળકોએ વાલીઓના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા હતા. શાળા પરિવાર દ્વારા આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી જ નૈતિક મૂલ્યો અને માતા-પિતા પ્રત્યે આદરની ભાવના જળવાઈ રહે તેવો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે. લાખો વિદ્યાર્થીઓ અત્યારે રાત-દિવસ એક કરીને પોતાની કારકિર્દીની આ મહત્વની પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે અને તેઓ શાંત વાતાવરણમાં વાંચી શકે તે માટે સુરત પોલીસ વિભાગ દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્નસરાની મોસમ અને વિદ્યાર્થીઓની ચિંતાહાલમાં એક તરફ બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ લગ્નસરાની સીઝન પણ પૂરબહારમાં ખીલી છે. લગ્ન પ્રસંગો દરમિયાન પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળો પર મોડી રાત સુધી વાગતા ડીજે અને બેન્ડવાજાના અવાજને કારણે વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડી દીધું છે. રાત્રે 10 વાગ્યા પછી DJ વગાડ્યું તો સાધન જપ્ત થશેનવા જાહેરનામા મુજબ, હવે સુરત શહેરમાં રાત્રે 10:00 વાગ્યા પછી કોઈપણ પાર્ટી પ્લોટ, હોલ કે જાહેર સ્થળ પર મોટા અવાજે ડીજે અથવા લાઉડ સ્પીકર વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ આ નિયમનો ભંગ કરતા ઝડપાશે, તો પોલીસ દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ જે-તે DJ ના સાધનો પણ જપ્ત કરી લેવામાં આવશે અને સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભારે વાહનો અને ઘોંઘાટિયા હોર્ન પર લાલ આંખમાત્ર મ્યુઝિક સિસ્ટમ જ નહીં, પરંતુ રસ્તાઓ પર થતા અવાજ પ્રદૂષણ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. મોડી રાત્રે શહેરમાંથી પસાર થતી લક્ઝરી બસો અને મોટા ટ્રકો દ્વારા વગાડવામાં આવતા તીવ્ર હોર્ન બાળકોની ઉંઘ અને અભ્યાસ બંને બગાડે છે. આથી, રહેણાંક વિસ્તારોમાં બિનજરૂરી હોર્ન વગાડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ સામે સુરત પોલીસનું ઓપરેશનસુરત પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે અનેક લક્ઝરી બસો અને ટ્રકો જાહેરનામાનો ભંગ કરીને પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશે છે અને ટ્રાફિકના નિયમો નેવે મૂકી રોંગ સાઈડમાં વાહન ચલાવે છે. આને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વહેલી સવારે 4:00 વાગ્યાથી જ શહેરના વિવિધ પ્રવેશદ્વારો અને સંવેદનશીલ પોઈન્ટ્સ પર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સરપ્રાઈઝ ચેકિંગ અને પોલીસ પોઈન્ટ્સમાં વધારોસમગ્ર સુરત શહેરમાં જ્યાં પણ રોંગ સાઈડ ડ્રાઈવિંગ કે હોર્ન વગાડવાની ફરિયાદો સૌથી વધુ મળે છે, ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ફિક્સ પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા છે. પોલીસ અધિકારી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, પોલીસની ટીમો ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરીને નિયમ ભંગ કરનારાઓને ઝડપી પાડશે. આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને સંપૂર્ણ સુરક્ષા અને શાંતિ મળે. ટ્રાફિક વિભાગના ડીસીપી પન્ના મોમૈયાએ જણાવ્યું હતું કે, હાલમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને તમામ બાળકો તેની તૈયારી કરી રહ્યા છે. સાથે-સાથે અત્યારે લગ્નની સીઝન હોવાથી પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ડીજે વાગવાની ફરિયાદો મળી રહી છે. જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે જો કોઈ પાર્ટી પ્લોટમાં રાત્રે 10:00 વાગ્યા પછી મોટા અવાજે ડીજે વગાડવામાં આવશે અથવા ડીજેનો ઉપયોગ કરવામાં આવશે, તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીને ડીજે જપ્ત કરવામાં આવશે. રોંગ સાઈડ અને હોર્ન વગાડવા અંગેની ફરિયાદો વધારે આવે છેઆ સાથે તેઓએ જણાવ્યું હતું કે, જે મોડી રાત્રે લક્ઝરી બસો અને મોટા ટ્રકો હોર્ન વગાડે છે, જેનાથી બાળકોના ભણવામાં વિક્ષેપ પડે છે, તેવા ટ્રક અને લક્ઝરી બસો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જે લક્ઝરી બસો રોંગ સાઈડમાં ચાલી રહી છે અને જાહેરનામાનો ભંગ કરીને સમય સિવાયના સમયમાં શહેરમાં પ્રવેશ કરે છે, તેવી તમામ લક્ઝરી બસ અને ટ્રક પર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. વહેલી સવારે 4:00 વાગ્યે પણ અમે પોઈન્ટ લગાવીને કાર્યવાહી કરી રહ્યા છીએ અને મોડી રાત્રે પણ જ્યાં અમને લાગે છે કે કાર્યવાહીની જરૂર છે ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આખા સુરત શહેરમાં જ્યાં પણ રોંગ સાઈડ અને હોર્ન વગાડવા અંગેની ફરિયાદો વધારે આવે છે, ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા પોઈન્ટ રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને બંગલામાં પગીપણું કરતા આધેડ કામ પૂરું કરીને સાયકલ લઇ પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે વિદ્યાનગર વિસ્તારમાં એક બાઈક ચાલકે આધેડને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં આધેડે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બાઈક ચાલકે સાઇકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા સારવાર દરમિયાન મોતઆ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વિજરાજનગર વિસ્તારમાં આવેલ શેરી નંબર 5 પ્લોટ નંબર 603 માં રહેતા અને અનંતવાડીમાં આવેલ જયદીપ કન્સ્ટ્રક્શન બંગલામાં સિક્યુરિટી ગાર્ડ કરતા હરેશ શામજીભાઈ હિરાણી ઉ.વ.60 ગઈકાલે નોકરી પૂર્ણ કરીને સાયકલની પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે વિદ્યાનગરમાં ગ્રામ્ય મામલતદાર કચેરી પાસે એક બાઈક નંબર જીજે 04 ઈએસ 5805ના ચાલકે સાઇકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે મૃતકના પુત્ર વિશાલ હરીશભાઈ હિરાણીએ બાઈક ચાલક વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ ખાતે 14 February 2026 ના રોજ વહેલી સવારે 05:30 કલાકે પૂજ્ય આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબ, દેવેન્દ્ર મહારાજ સાહેબ તથા સાધ્વીજી મહારાજ સાહેબે મુલાકાત લીધી હતી. અબોલ જીવોની નિઃશુલ્ક સેવા કરતી આ હોસ્પિટલના સેવાકાર્યો જોઈને આચાર્ય ભગવંતે અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જીવદયાની નવી પરિભાષા હોસ્પિટલના સ્ટાફ અને જીવદયા રક્ષકોને આશીર્વાદ આપતા આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સમાજમાં પાંજરાપોળને જ જીવદયા માનવામાં આવતી હતી. પરંતુ, પ્રેરણા ફાઉન્ડેશને જીવદયા સેવા કેટલી વિશાળ અને અનન્ય હોઈ શકે તે પ્રત્યક્ષ કરી બતાવ્યું છે. તેઓએ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી ઝીણવટભરી સેવાની માહિતી મેળવીને આ કાર્યને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. અબોલ જીવોની સન્માનપૂર્વક સારવાર આચાર્ય ભગવંતે વધુમાં ઉમેર્યું કે જીવદયા માત્ર આશ્રય આપવા પૂરતી સીમિત નથી, પરંતુ દરેક જીવને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. અબોલ જીવોને બચાવવા, તેમને સમયસર આધુનિક તબીબી સારવાર આપવી, પ્રેમથી સંભાળ રાખવી અને તેમના પુનઃવસન માટે પ્રયાસો કરવા એ સાચી જીવદયા છે. પ્રેરણા ફાઉન્ડેશનની આ નિઃસ્વાર્થ અને સમર્પિત સેવા ખરેખર વંદનીય છે.
ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી એડિશનનું સફળતાપૂર્વક સમાપન કર્યું છે. આ એડિશનમાં અમદાવાદની સાથે સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી અને આણંદ સુધી આ પહેલ પહોંચી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતભરની 100 થી વધુ સરકારી અને ખાનગી શાળાઓના 5100 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય હેતુ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર રમતો અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. સમાવેશક અને મનોરંજક આયોજન જુનિયર ટાઇટન્સ એક મલ્ટી-સિટી ગ્રાસરૂટ પ્રોગ્રામ છે જે સ્થાનિક સમુદાયોને ગુજરાત ટાઇટન્સ બ્રાન્ડ સાથે જોડે છે. દરેક શહેરમાં એક દિવસીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બિન-સ્પર્ધાત્મક સત્રો અને વિવિધ આકર્ષક રમતો દ્વારા યુવા સહભાગીઓમાં આત્મવિશ્વાસ અને ટીમવર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અમદાવાદના અંતિમ તબક્કામાં યુએનએમ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત 269 બાળકોએ પણ ભાગ લીધો હતો, જે આ કાર્યક્રમની સમાવેશક પહોંચ દર્શાવે છે. વૈશ્વિક બ્રાન્ડ પોકેમોન સાથે સહયોગ આ કાર્યક્રમમાં સતત બીજા વર્ષે વિશ્વની જાણીતી બ્રાન્ડ પોકેમોને પોતાનો સહયોગ ચાલુ રાખ્યો હતો. આ સહયોગ હેઠળ બાળકોને જોડવા અને મનોરંજન પૂરું પાડવા માટે ખાસ રમતો તૈયાર કરવામાં આવી હતી. 2024 માં વડોદરા અને રાજકોટથી શરૂ થયેલી આ પહેલે અત્યાર સુધીમાં 3 એડિશન દ્વારા ગુજરાતના 13 શહેરોમાં 15,000 થી વધુ બાળકોને સાંકળ્યા છે. રમતગમત સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે, જુનિયર ટાઇટન્સની ત્રીજી એડિશનનું સમાપન એ રમતગમતની સંસ્કૃતિ ઉભી કરવાના પ્રયાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ પહેલ ફક્ત આઉટરીચ નથી, પરંતુ બાળકોના વિકાસમાં આઉટડોર સ્પોર્ટ્સ કુદરતી ભાગ બની જાય તે માટેનું લાંબા ગાળાનું રોકાણ છે. ફ્રેન્ચાઇઝી સમગ્ર ગુજરાતમાં સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે.
આજના ડિજિટલ યુગમાં સાયબર અપરાધીઓ અવનવી રીતે લોકોને છેતરી રહ્યા છે. તાજેતરમાં સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવતા કુખ્યાત જામતારા ગેંગ સાથે સંકળાયેલા ગુજરાતના 3 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક સિવિલ એન્જિનિયર પણ શામેલ છે. આ ગેંગ વોટ્સએપ પર નકલી RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી લોકોના મોબાઈલ હેક કરી બેંક ખાતા સાફ કરી નાખતી હતી. સુરતમાં જામતારા ગેંગ સાથે સંડોવણી ધરાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીઓ પાસેથી 227 જેટલા ક્રેડિટ કાર્ડ અને 92.53 લાખના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે. આ ટોળકી જામતારા ગેંગના કાળી કમાણીના નાણાંને 10% કમિશન લઈને સફેદ કરવાનું કૌભાંડ ચલાવતા હતા. ફાઇલ ડાઉનલોડ કરતા જ મોબાઈલ હેક થયોઆ ઘટનાની શરૂઆત 20 નવેમ્બર 2025ના રોજ થઈ હતી. ફરિયાદીના દીકરાના મિત્રના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી 'Digital RTO E-Challan.APK' નામની ફાઇલ આવી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરતા જ મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ હેકર્સે તે મિત્રના વોટ્સએપ ગ્રુપમાં પણ આ જ ફાઇલ મોકલી હતી. ફરિયાદીના દીકરાએ જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી કે તરત જ તેનો ફોન હેક થયો અને તેના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ Rs. 5,02,562 ઉપડી ગયા હતા. સૌપ્રથમ રાજકોટનો અને ઝારખંડનો શખ્સ ઝડપાયોપોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા ફરિયાદીએ તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કર્યો હતો. ત્યારબાદ 14 ડિસેમ્બર 2025ના રોજ સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં સૌપ્રથમ નિશીત નથવાણી (રાજકોટ) અને ગૌતમ મંડલ (જામતારા, ઝારખંડ)ની ધરપકડ કરવામાં આવી હતી. જામતારા ગેંગનું સુરત કનેક્શનતપાસ દરમિયાન બહાર આવ્યું કે, જામતારા બેઠેલા ઠગો સુરતમાં પોતાના એજન્ટો ધરાવે છે. આ એજન્ટો ફ્રોડના નાણાં ઠેકાણે પાડવા માટે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટના વ્યવસાયનો આશરો લેતા હતાં. લોકોના બેંક ખાતામાંથી ચોરી કરેલા નાણાં આ આરોપીઓ પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ભરવામાં વાપરતા અને તે રકમ રોકડ સ્વરૂપે અથવા CDM મશીન દ્વારા ફરી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતા હતા. 30 ક્રેડિટ કાર્ડ ને 92.53 લાખના ટ્રાન્ઝેક્શનપોલીસે અશ્વિન ગાંગાણીની ઓફિસમાં દરોડા પાડી 2 મોબાઈલ, 1 CPU, 2 POS મશીન અને જુદી જુદી બેંકોના 227 ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા છે. તપાસમાં ખૂલ્યું છે કે RBL બેંકના 30 ક્રેડિટ કાર્ડમાં અગાઉ 19 જેટલી સાયબર ફરિયાદો નોંધાયેલી છે, જેમાં અંદાજે Rs. 19,10,322/- નું ફ્રોડ થયેલું છે. વધુમાં, એક પેટીએમ POS મશીનમાં Rs. 92,53,663/- ના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. APK ફાઇલ દ્વારા પરમિશન ને કૌભાંડઆ ગેંગ 'APK' ફાઇલનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરતી હતી. જ્યારે કોઈ યુઝર આ ફાઇલ ઇન્સ્ટોલ કરે છે, ત્યારે તે મોબાઈલના મેસેજ, કોન્ટેક્ટ્સ અને ગેલેરીની પરમિશન મેળવી લે છે. આનાથી હેકર્સ યુઝરના OTP સીધા વાંચી શકે છે, જેના કારણે બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવા તેમના માટે સરળ બની જાય છે. સિવિલ એન્જિનિયર ને બી.કોમ ગ્રેજ્યુએટ બે યુવક, 10 ટકા કમિશનની લાલચપકડાયેલા આરોપીઓમાં એક સિવિલ એન્જિનિયર અને એક બી.કોમ ગ્રેજ્યુએટ છે. આ બાબત ચિંતાજનક છે કે ભણેલા-ગણેલા યુવાનો ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં અથવા '10% કમિશન' જેવી આકર્ષક ઓફરોમાં આવીને આંતરરાજ્ય સાયબર ગેંગના પ્યાદા બની રહ્યા છે. ગૌરવ માલવીયાએ કબૂલાત કરી છે કે તેણે 20થી વધુ વખત નાણાં જામતારા મોકલ્યા હતાં. જામતારા સાયબર ક્રાઇમનું એપીસેન્ટરઝારખંડનું જામતારા વર્ષોથી સાયબર ફ્રોડ માટે કુખ્યાત છે. અહીંના ઠગો હવે સીધા કોલ કરવાને બદલે સોશિયલ એન્જિનિયરિંગ અને માલવેર (APK)નો ઉપયોગ કરી રહ્યા છે. સુરત પોલીસની આ કાર્યવાહીથી જામતારા ગેંગના મની લોન્ડરિંગ નેટવર્ક પર મોટો પ્રહાર થયો છે. હાલ પોલીસ આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં સુરતથી ત્રણ મુખ્ય સાગરીતોની ધરપકડ કરી છે. આ પણ વાંચો 12 નવેન્બરે 2025ના જામતારાનો 9 ફેલ માસ્ટરમાઇન્ડ એક 'બાઇક રીલ'થી સુરતમાં પકડાયોક્યારેક સોશિયલ મીડિયા પર હીરો બનવાની હોંશ અને શુરાતન પ્રદર્શન કરવું એ જ સ્માર્ટ ગુનેગારોની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. આવો જ એક કિસ્સો સુરત સાયબર ક્રાઇમ સેલના હાથે લાગ્યો છે, જ્યાં ઝારખંડના એક નાનકડા ગામડામાં બેસી અભણ ગેંગે દેશભરના 179થી વધુ લોકોને શિકાર બનાવ્યા. 1 કરોડથી વધુની ઠગાઈ કરનાર કુખ્યાત જામતારા ગેંગના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસને તેની જ ઇન્સ્ટાગ્રામ રીલ કામે લાગી હતી. સુરત સાયબર સેલની ટીમે ઝારખંડમાં 10 દિવસ સુધી ધામા નાખ્યા, એક ઓપરેશન નિષ્ફળ પણ ગયું, છતાં હાર માન્યા વિના ફિલ્મી ઢબે રાત્રિના 1:30 વાગ્યે બીજું ઓપરેશન પાર પાડીને મુખ્ય આરોપી સહિત ત્રણને દબોચી લેવામાં આવ્યા. આ કેસની તપાસમાં આરોપીઓની કામ કરવાની 'થ્રી-લેયર' પદ્ધતિ અને અભણ હોવા છતાં 'પ્રોફેશનલ ક્રિમિનલ' જેવી સાતિર બુદ્ધિ જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) જામતારાના રાજેશે 2,000 લોકોનાં ખાતાં ખાલી કર્યાંબેંક એકાઉન્ટના KYC ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોને છેતરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડના જામતારા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જામતારાના રાજેશ નામના આ આરોપીએ એક-બે નહીં, પણ 2 હજારથી વધુ લોકોનાં એકાઉન્ટ ખાલી કર્યાં હતાં. એ માટે તેણે એક જ કંપનીના 1980 મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હતો..(વાંચો સંપૂર્ણ સમાચાર)
મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સુરતે આજે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. શહેરની જાણીતી શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી માટે સુરતની પ્રથમ AI-આધારિત 'MISSO' રોબોટિક સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાધુનિક સિસ્ટમ ઇન્સ્ટોલ થવાથી હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓને સાંધાના રિપ્લેસમેન્ટ માટે વિશ્વસ્તરીય સુવિધા પોતાના જ શહેરમાં મળી રહેશે. આ પ્રોજેક્ટ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. કેતન ખેનીના નેતૃત્વ હેઠળ સાકાર થયો છે. સ્વદેશી ટેકનોલોજી: મેક ઇન ઇન્ડિયાનું ગૌરવ MISSO રોબોટિક સિસ્ટમ એ માત્ર એક મશીન નથી, પરંતુ ભારતની વૈશ્વિક આરોગ્ય સારસંભાળ કંપની 'મેરિલ' દ્વારા સ્વદેશી સ્તરે વિકસાવવામાં આવેલું ઇનોવેશન છે. ભારતમાં જ ડિઝાઇન થયેલી આ સિસ્ટમ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 150 થી વધુ સ્થળોએ સફળતાપૂર્વક કાર્યરત છે. મેટ્રો શહેરો પૂરતી મર્યાદિત ગણાતી આ ટેકનોલોજી હવે સુરત જેવા શહેરોમાં ઉપલબ્ધ થતા પ્રાદેશિક આરોગ્ય માળખું વધુ મજબૂત બન્યું છે. AI અને રોબોટિક્સ દ્વારા સર્જિકલ ચોકસાઈ આ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને શસ્ત્રક્રિયા પહેલાનું સચોટ પ્લાનિંગ અને ઓપરેશન દરમિયાન રીઅલ-ટાઇમ માર્ગદર્શન પૂરું પાડે છે. દરેક દર્દીની શરીરરચના (Anatomy) અલગ હોય છે, જેને ધ્યાનમાં રાખીને MISSO સિસ્ટમ ઇમ્પ્લાન્ટનું પોઝિશનિંગ અત્યંત સચોટ રીતે કરે છે. આનાથી ઘૂંટણનું સંતુલન બહેતર બને છે અને સર્જિકલ ભૂલોની શક્યતા નહિવત થઈ જાય છે. દર્દીઓ માટે ફાયદાકારક અને પીડામુક્ત સારવાર પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ રોબોટિક સર્જરીના અનેક ફાયદા છે. ડૉ. કેતન ખેનીએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજીથી સોફ્ટ-ટીશ્યુને ન્યૂનતમ નુકસાન થાય છે, જેના પરિણામે દર્દીને ઓપરેશન પછી દુખાવો ઓછો થાય છે અને રિકવરી ઘણી ઝડપી આવે છે. વધુમાં, AI દ્વારા થતું કસ્ટમાઇઝેશન ઇમ્પ્લાન્ટનું આયુષ્ય વધારે છે, જે દર્દીઓ માટે લાંબા ગાળાનો સંતોષ સુનિશ્ચિત કરે છે. મેટ્રો શહેરો પરની નિર્ભરતામાં ઘટાડો અત્યાર સુધી જટિલ રોબોટિક સર્જરી માટે સુરતના દર્દીઓએ મુંબઈ કે અમદાવાદ જેવા મેટ્રો શહેરો તરફ દોડવું પડતું હતું. પરંતુ હવે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ થતા સમય અને નાણાં બંનેની બચત થશે. ટાયર-2 શહેરોમાં આવી અદ્યતન ટેકનોલોજીનો સ્વીકાર ભારતીય હેલ્થકેર ક્ષેત્રમાં આવી રહેલા મોટા પરિવર્તનનો સંકેત છે. સુરત હવે ઓર્થોપેડિક સારવારના એક મોટા હબ તરીકે ઉભરી રહ્યું છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે. સુરતના વેડરોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ દ્વારા આ મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, મહા વદ તેરસના દિવસે ઉજવવામાં આવતો આ તહેવાર દેવોના દેવ મહાદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે શિવ અને શક્તિના મિલનનું પર્વ છે. પૌરાણિક કથાઓ મુજબ, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ભક્તિમય વાતાવરણ અને ધાર્મિક પરંપરા આવતા રવિવારે શિવરાત્રીના દિવસે રાત્રે સુરત ગુરુકુળમાં પવિત્ર ભૂદેવો દ્વારા ભગવાન ભોળાનાથને દૂધથી અભિષેક તથા બિલીપત્ર અર્પણ કરી મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજન-આરાધન કરવામાં આવશે. સમગ્ર ભારતભરમાં ભક્તો આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખી રાત્રે જાગરણ કરે છે. શિવાલયોમાં 'ૐ નમઃ શિવાય' ના મંત્ર જાપ સાથે શિવલિંગ પર દૂધ, જળ, મધ અને પંચામૃતનો અભિષેક કરીને શિવભક્તિમાં લીન બને છે. વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ પ્રભુ સ્વામીએ આ પર્વના વૈજ્ઞાનિક પાસા પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ રાત્રે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે મનુષ્યના શરીરમાં ઉર્જા કુદરતી રીતે ઉપરની તરફ ગતિ કરે છે. આથી જ આ રાત્રે કરોડરજ્જુ સીધી રાખીને જાગરણ કરવાનું વિશેષ મહત્વ છે. એવું પણ મનાય છે કે આ પવિત્ર રાત્રે શિવજીએ બ્રહ્માંડના સર્જન માટે 'તાંડવ' નૃત્ય કર્યું હતું. અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાન તરફનો માર્ગ અંતમાં તેમણે ઉમેર્યું હતું કે મહાશિવરાત્રી એ માત્ર બાહ્ય ધાર્મિક વિધિ નથી, પરંતુ આપણા અંતર આત્માને જગાડવાનો અવસર છે. આ પર્વ આપણને અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપે છે. આ કાર્યક્રમમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ અને હરિભક્તો જોડાઈને આધ્યાત્મિક ધન્યતા અનુભવશે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આજરોજ 'માતૃ-પિતૃ વંદના દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માતાઓની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા, જેના કારણે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. વિશ્વભરમાં 14ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી થતી હોય છે, ત્યારે આ શાળાએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આ દિવસની ઉજવણી કરીને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયાસ કર્યો હતો. શાળાની આ પહેલને વાલીઓ દ્વારા સારો આવકાર મળ્યો છે. કાર્યક્રમ દરમિયાન બાળકોએ પોતાના માતા-પિતાનું તિલક કર્યું, આરતી ઉતારી, તેમને વંદન કર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે શાળામાં એક વિશિષ્ટ લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કુટુંબના બંધનને મજબૂત કરવાનો અને બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર, પ્રેમ તથા કૃતજ્ઞતાની ભાવના કેળવવાનો હતો. શાળાના આ પ્રયાસથી વાલીઓમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી હતી.
IND vs PAK: અભિષેક શર્મા રમશે કે નહીં? સૂર્યકુમારે કર્યું કન્ફર્મ, હેન્ડશેક મામલે પણ મોટું નિવેદન
India vs Pakistan T20 WC: ટી20 વર્લ્ડકપમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ મેચ રમાશે. શ્રીલંકાના કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. મેચ પહેલા સૂર્યકુમાર યાદવે પત્રકાર પરિષદમાં અભિષેક શર્માની ફિટનેસ મામલે મોટું નિવેદન આપ્યું છે. અભિષેક શર્મા આવતીકાલની મેચ, સૂર્યકુમાર યાદવે કર્યું કન્ફર્મ બીમારીના કારણે ટીમથી બહાર ચાલી રહેલો અભિષેક શર્મા આવતીકાલની મેચ રમશે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલી પીએમ શ્રી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ માટે જુડો કરાટેના સ્વરક્ષણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ તાલીમ વર્ગમાં 68 વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી. તેમણે શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયા, શાળા પરિવાર અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તાલીમ સરકારની 'ઝાંસીની રાણી યોજના'થી પ્રેરિત છે, જે દીકરીઓને આત્મરક્ષણ માટે તૈયાર કરવાની યોજના હતી. શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ વિભાગની મંજૂરી લઈને ત્રણ માસનો આ કોર્સ શરૂ કરાયો છે. કુલ ૩૬ સેશન યોજાશે અને અઠવાડિયામાં ત્રણ દિવસ તાલીમ આપવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ વિભાગના જુડો કરાટેમાં પ્રમાણપત્ર ધરાવતા અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલા નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને તાલીમ અપાઈ રહી છે. આ તાલીમથી વિદ્યાર્થીનીઓનું મનોબળ મજબૂત થશે અને તેઓ પોતાની જાતે સ્વરક્ષા કરી શકશે. સરપંચ કાજલબેને આ કાર્યને દીકરીઓની સુરક્ષા માટે ખૂબ જ સુંદર પહેલ ગણાવી હતી. દરમિયાન, સરપંચ કાજલબેને ગામમાં ચાલતી ગટર અને પાણીની લાઈનની કામગીરી પણ નિહાળી હતી અને ઝડપથી સેવાઓ પુનઃ કાર્યરત થાય તેવી સૂચના આપી હતી. તેમણે બહેનો માટે ચાલતા સીવણ ક્લાસની પણ મુલાકાત લીધી હતી અને વધુ બહેનોને તેમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.
બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી
India's 1st Underwater Road-Cum-Rail Tunnel : આર્થિક બાબતોની કેબિનેટે વિશ્વની બીજી અને દેશમાં પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ ટનલ આસામના બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં બનાવાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ટનલ બન્યા બાદ રોજગારી વધશે, માલસામાનની હેરફેરની કાર્યક્ષમતા વધશે. આ ઉપરાંત મુસાફરો માટે રેલ અને સડક માર્ગની મુસાફરી વધુ સુવિધાજનક અને રોમાંચક બનશે. બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં બનશે ટનલ
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની શરૂઆતમાતૃ દેવો ભવ:, પિતૃ દેવો ભવ:ના શ્લોક થી થાય છે,બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલમાં 14 ફેબ્રુઆરી, 2026ના રોજ 'માતૃ-પિતૃ વંદના' કાર્યક્રમ યોજાયો હતો. તક્ષશિલા એજ્યુ એન્ડ ચેરી ટ્રસ્ટ સંચાલિત આ સંકુલના ધોરણ 1 થી 12ના 550થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને આસન પર બેસાડી ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક કર્યું હતું. તેમણે માતા-પિતાને ફૂલહાર પહેરાવી વિધિવત્ પૂજન કર્યું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ માતા-પિતાની આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને વંદના કરી હતી. કાર્યક્રમના સમાપ્તિ સમયે, વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ શૈક્ષણિક સ્ટાફ તેમજ બંને વિભાગના આચાર્યશ્રીઓએ સઘન પ્રયાસો કર્યા હતા. આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુ ત્રસડીયાએ કાર્યક્રમની સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
ફતેપુરામાં પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો:ખેડૂતોને માર્ગદર્શન, સહાય ચેક અને સાધનોનું વિતરણ કરાયું
દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેડૂત તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ મેળો-વ-પાક પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, તેમજ સહાયના ચેક અને સાધનોનું વિતરણ કરાયું હતું. વિવિધ વિભાગોના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. મેળા દરમિયાન ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગ અને આણંદ કૃષિ યુનિવર્સિટી સહિતના વિભાગો દ્વારા માહિતીપ્રદ સ્ટોલ ઊભા કરાયા હતા. નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખાતર, જીવામૃત, ગાય આધારિત ખેતી, પાક સંરક્ષણ અને ઉત્પાદન વૃદ્ધિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ સરકારી સહાયના ચેક, મંજૂરીપત્રો અને ખેતી તથા પશુપાલન માટે ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણથી ખેડૂતોમાં સંતોષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રી રમેશ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. ગામડાઓમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બને અને ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમણે ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે મજબૂત બનવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રયત્નો હાથ ધરાયા છે. હાલ જિલ્લામાં ૧૯ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર આમલિયારે વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા સ્વદેશી ઉત્પાદન, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પી.આર. દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ગોસાઈ, મામલતદાર ફતેપુરા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ચાલતા રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા પુલવામાં સેક્ટરમાં ઘાતકી આંતકવાદી હુમલામાં શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, વિશ્વ આજે આતંકવાદની સામે લડી રહ્યું છે આ આતંકવાદને કારણે આપણા દેશએ વધારે સહન કર્યું છે, વર્ષોથી આપણા ભારત દેશ આતંકવાદ ની પ્રવૃત્તિ સામે લડી રહ્યું છે કેટલાય વર્ષોથી આપણા પાડોશી દેશ દ્વારા કોઈને કોઈ માધ્યમથી આપણા દેશમાં આત્મઘાતી હુમલા કરવામાં આવી રહ્યા છે, આવોજ એક આત્મઘાતી હુમલો હતો પુલવામાં હુમલો. નંદકુવરબા મહિલા કોલેજ ખાતે ચાલતા રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા 2019 પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયો હતો, જ્યારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતીય સુરક્ષા કર્મચારીઓને લઈ જતા વાહનોના કાફલા પર જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુલવામા જિલ્લાના લેથાપોરા ખાતે વાહનથી પસાર થઇ રહેલા આપણા વીર જવાનો પર આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આપણા 44 વીર જવાનો શહીદ થયા હતા, આ જવાનોના આત્માને શાંતિ મળે તે માટે કોલેજની વિધાર્થીનીઓએ વીર જવાનોને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી હતી, વીર જવાનોની આત્માની શાંતિ માટે વિધાર્થીનીઓ દ્વારા મૌન પાળવામા આવ્યું હતું.
ઐતિહાસિક દાંડીના દરિયાકિનારે તાજેતરમાં 8મા સ્ટેટ લેવલ વન-ડે માર્શલ આર્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારના દીકરીઓ તેમજ યુવાનોમાં સ્વરક્ષણની ભાવના મજબૂત કરવાના અભિયાન હેઠળ 'બુદ્ધિષ્ઠ કૂંગ ફુ એસોસિએશન ઓફ ગુજરાત' દ્વારા આ તાલીમ કેમ્પ યોજાયો હતો. વિવિધ જિલ્લાના 100 તાલીમાર્થીઓની સહભાગિતાઆ એક દિવસીય કેમ્પમાં સુરત, અમદાવાદ, નવસારી, સચિન અને વલસાડ સહિતના શહેરોમાંથી આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દાંડીના કુદરતી વાતાવરણમાં વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક મજબૂતી પૂરી પાડવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં સમાવિષ્ટ વિવિધ કળાઓકેમ્પ દરમિયાન નિષ્ણાતો દ્વારા તાલીમાર્થીઓને વિવિધ માર્શલ આર્ટ્સ કળાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં યોગ અને પ્રાણાયામ: માનસિક એકાગ્રતા વધારવા માટે. કરાટે: આક્રમણ અને બચાવના દાવપેચ માટે. નાનચાકુ: શસ્ત્ર ચલાવવાની ટેકનિક. જીમ્નાસ્ટિક: શરીરની લવચીકતા (ફ્લેક્સિબિલિટી) વધારવા માટે. સેલ્ફ ડિફેન્સ: અચાનક થતા હુમલા સમયે સ્વરક્ષણ માટેની ખાસ ટિપ્સ. મહાનુભાવો અને ઇન્સ્ટ્રક્ટર્સની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં બુદ્ધિષ્ઠ કૂંગ ફુ ફેડરેશનના પ્રેસિડેન્ટ ભરત બિશનોઈ, સેક્રેટરી પ્રશાંત ત્રિપાઠી અને ટેકનિકલ ડાયરેક્ટર જીતુ સહાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત એસોસિએશનના પ્રેસિડેન્ટ ગીરીશ સાપકર, દાંડીના સરપંચ નિકિતાબેન રાઠોડ અને હોમગાર્ડ ઓફિસર ગણેશ પાટીલે હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને ગોકુંજ જોશી, જયમીન શર્મા, ઓમ, ભવાની બેંદડી, અમન અને સુસ્મિતા બિશનોઈ જેવા અનુભવી ઇન્સ્ટ્રક્ટર્સે માર્ગદર્શન આપ્યું હતું. સત્યાગ્રહ સ્મારકની મુલાકાત સાથે સમાપનતાલીમ પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓએ દાંડી સ્થિત 'રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક'ની મુલાકાત લઈને ઐતિહાસિક વારસાની જાણકારી મેળવી હતી. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત આજે અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી..નવા માળખામાં દર્શક ઠાકર, ગૌતમ કથીરિયા અને જશુ ઠાકોરને મહામંત્રીનું પદ મળ્યું. સંગઠનમાં 8 ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લવ ગાર્ડનમાં પહોંચ્યા વિહિપના કાર્યકર્તાઓ વેલેન્ટાઈન ડે પર બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ યુવક-યુવતીઓને પરેશાન કર્યા હતા. રાજકોટના રેસકોર્ષ સ્થિત 'લવ ગાર્ડન'માં પહોંચેલા કાર્યકર્તાઓન જોઈને યુવક-યુવતીઓમાં નાસભાગ મચી ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈરફાન પઠાણની BCA ચૂંટણી પહેલા યોર્કર બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પહેલા ઈરફાન પઠાણે બીસીએના વર્તમાન વહીવટ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા..જે લોકોએ માત્ર 6-7 રણજી મેચ રમી છે તેમને સિલેક્ટર બનાવવામાં આવે છે જેથી તેઓ કોઈના પ્રભાવ હેઠળ કામ કરે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દીકરાની લાલચમાં યુવતી સાથે અત્યાચાર કેનેડામાં રહેતા પતિએ દીકરાની લાલચમાં મોરબીની યુવતી પર કર્યો અત્યાચાર.. બે-બે વાર ગર્ભપાત કરી થાઈલેન્ડના IVF સેન્ટર લઈ ગયો..દીકરીની હાજરીમાં મારતો હતો. આખરે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 વર્ષીય યુવતીએ થારથી યુવકને ઉડાવ્યો વડોદરામાં 19 વર્ષીય યુવતીએ થારથી યુવકને ઉડાવ્યો..મૃતક યુવક ડિલીવરી બોય હતો અને પાર્સલ આપવા જઈ રહ્યો હતો.ત્યારે લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતીએ ટક્કર મારી..ટક્કરમાં એક્ટિવા દૂર સુધી ઢસડાયું અને યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકોના એલસી માગતા મહિલાને હોટલમાં બોલાવી નડિયાદમાં બાળકોના એલસી માગતી મહિલાને આચાર્યએ હોટલમાં બોલાવી. મહિલા પરિવારને લઈને હોટલમાં પહોંચી, જ્યાં પરિવારે આચાર્યને ઠમઠોરી હોબાળો મચાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાડાના ઘરમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભાડાના મકાનમાથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી..ફાર્મા કંપનીના કર્મચારીએ બાથરૂમમાં લેબ તૈયાર કરી. અને ગુગલ પર જોઈ MD ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે રો મટિરીયલ સાથે આરોપીની ધરપકડ કરી છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના ધજાગરા સુરતમાં નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના ધજાગરા..જાગનાથ મહાદેવ પાસે માઝૂમ મસ્જિદ હોવાનો રિપોર્ટ બતાવી તંત્રએ લઘુમતીને મિલકત ટ્રાન્સફર કરવાની મંજૂરી આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. મંદિરમાં આરતી પૂજા કરી વિરોધ નોંધાવ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીને લેવા જતા યુવકને મોત મળ્યું અમદાવાદના વટવા જીઆઇડીસી રોડ પર પૂરઝડપે જતી કાર ઝાડ સાથે અથડાતા યુવકનું મોત.. યુવક પત્નીને લેવા સાસરીમાં જતો હતો. 3 વર્ષ પહેલાં જ બંનેના લગ્ન થયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગિરનાર તળેટીમાં ધમધમ્યા રસોડા જૂનાગઢની ગિરનાર તળેટીમાં અત્યારે મિની કુંભ સમાન મહાશિવરાત્રિના મેળામાં ધમધમ્યા રસોડા..350થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં હાજર રહી શ્રધ્ધાળુઓને જમાડે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મોરબીમાં 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે:જિલ્લા પરીક્ષા સમિતિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી
મોરબીમાં બોર્ડની પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષપદે યોજાઈ હતી. આ બેઠકમાં પરીક્ષાની તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અગાઉ, શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાઝા અને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેટલાક જિલ્લાઓની સમીક્ષા કરી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ માહિતી આપી હતી કે કુલ 22,870 વિદ્યાર્થીઓ 17 કેન્દ્રો પર, 85 બિલ્ડિંગ અને 803 બ્લોકમાં પરીક્ષા આપશે. ધોરણ 12ના ઝોનલ અધિકારી ભાવેશ ભાલોડિયા અને ધોરણ 10ના શૈલેષ મેરઝાએ જણાવ્યું હતું કે સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવી છે. કલેક્ટર કે. બી. ઝવેરીએ પાડા પુલના રિપેરિંગને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયસર પહોંચવા માટે વહેલા નીકળવા સૂચન કર્યું હતું. બસ દ્વારા આવતા વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા પણ જણાવાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ટ્રાફિકમાં મુશ્કેલી પડે તો ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી. આર. એ. સી. ખાચર સરે માળિયાના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસ.ટી. તંત્રને બસ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. તેમણે વીજ તંત્રને પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા પણ નિર્દેશ આપ્યો હતો. આયોજન વ્યવસ્થા ઈ. આઈ. ધર્મિષ્ઠાબેન કડીવાર અને હિતેશ સરડવા દ્વારા સંભાળવામાં આવી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પીરસવામાં આવતા હલકી ગુણવત્તાના ભોજન અને મેસ ફીમાં કરવામાં આવેલા તોતિંગ વધારાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રજીસ્ટ્રાર ઓફિસ બહાર ધરણાં યોજ્યા હતા. મેસ ફીમાં ધરખમ વધારો છતાં ભોજનમાં 'જીવાત'વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ નવા ટેન્ડર પ્રક્રિયા બાદ હોસ્ટેલની મેસ ફીમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ બોયઝ હોસ્ટેલમાં મેસની ફી 2000 રૂપિયા હતી, જે વધારીને 2400 રૂપિયા કરી દેવામાં આવી છે. એવી જ રીતે, ગર્લ્સ હોસ્ટેલમાં જે ફી 1700 રૂપિયા હતી તેમાં પણ વધારો કરીને 2400 રૂપિયા કરી દેવાઈ છે. આમ, ફીમાં આટલો મોટો વધારો કરવા છતાં ભોજનની ગુણવત્તા સુધરવાને બદલે વધુ કથળી હોવાના આક્ષેપ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યા છે. ભોજનમાં ઈયળો નીકળતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે ખતરોABVPના કાર્યકરો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીરસવામાં આવતા ભોજનમાંથી ઈયળો અને અન્ય જીવાતો નીકળી રહી છે. આ પ્રકારનું અખાદ્ય ભોજન આરોગવાને કારણે અનેક વિદ્યાર્થીઓ સાંજે બીમાર પડી રહ્યા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મોંઘી ફી વસૂલવા છતાં તેમને તદ્દન સાવ નીચી ગુણવત્તાનું ખાવાનું આપવામાં આવે છે, જે તેમના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા સમાન છે. 10 દિવસ અગાઉ રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાંVNSGU ABVPના અધ્યક્ષ કૌટિલ પટેલે જણાવ્યું હતું કે, અમે 10 દિવસ અગાઉ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની ભોજન સંબંધિત સમસ્યાઓ અંગે રજીસ્ટ્રાર અને વાઈસ ચાન્સેલર (VC) સાહેબને લેખિતમાં ફરિયાદ કરી હતી તેમછતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. અધિકારીઓની આ નિષ્ક્રિયતા સામે આજે અમારે આંદોલન કરવાની ફરજ પડી છે. રજીસ્ટ્રાર ઓફિસ બહાર રામધૂન અને ધરણાંયુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા રોષે ભરાયેલા સેંકડો વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરો આજે યુનિવર્સિટી કેમ્પસમાં એકઠા થયા હતા. રજીસ્ટ્રાર ઓફિસની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બેસીને ધરણાં કર્યા હતા અને તંત્રને જગાડવા માટે 'રામધૂન' બોલાવી હતી. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, જ્યાં સુધી ભોજનની ગુણવત્તામાં સુધારો ન થાય અને દોષિત કોન્ટ્રાક્ટર સામે પગલાં ન લેવાય ત્યાં સુધી તેઓ હટશે નહીં. કોન્ટ્રાક્ટરો પ્રત્યે કૂણી લાગણી રાખવાનો આક્ષેપઆ આંદોલન દરમિયાન વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી પ્રશાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, યુનિવર્સિટી સત્તાધીશોને માત્ર કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓની જ ચિંતા છે. જે વિદ્યાર્થીઓના જોરે યુનિવર્સિટી ચાલે છે, તેમના સ્વાસ્થ્ય કે સુવિધાની પ્રશાસનને જરાય પરવા નથી. આથી, જ વારંવારની રજૂઆતો છતાં મેસનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની દિશામાં કોઈ તજવીજ હાથ ધરવામાં આવતી નથી. ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકીવિદ્યાર્થીઓએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે, આજે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ યુનિવર્સિટી કેમ્પસ છોડશે નહીં. ABVP દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, જો આગામી સમયમાં કોન્ટ્રાક્ટ રદ્દ કરી ભોજનની ગુણવત્તા સુધારવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલમાં સમગ્ર કેમ્પસમાં તણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘બજેટ ટોક @ કેમ્પસ–2026’ કાર્યક્રમ યોજાયો હતો. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગરના નિર્દેશ અનુસાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ અને કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંગલાચરણ અને દીપ પ્રાગટ્યથી થયો. ત્યારબાદ સમૂહમાં ‘વંદે માતરમ’ ગાન કરવામાં આવ્યું. સંસ્કૃત કોલેજના આચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ચોકસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વેરાવળના આચાર્ય ડૉ. જીગરભાઈ રાવલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. પોતાના વક્તવ્યમાં ડૉ. જીગરભાઈ રાવલે જણાવ્યું કે, બજેટ માત્ર આવક-જાવકનો હિસાબ નથી, પરંતુ દેશના ભાવિ વિકાસનું દ્રષ્ટિપત્ર છે. તેમણે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બજેટનો ઇતિહાસ, બજેટ–2026ના મુખ્ય હેતુઓ અને ‘વિકસિત ભારત–2047’ના વિઝન મિશનનો રોડમેપ સરળ ભાષામાં સમજાવ્યો. તેમણે યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટેની જોગવાઈઓ, રક્ષા ક્ષેત્રે વધારાયેલી ફાળવણી, આયુર્વેદ અને આરોગ્ય ક્ષેત્રે નવી તકો તેમજ મહત્વપૂર્ણ આંકડાકીય માહિતી રસપ્રદ રીતે રજૂ કરી. કાર્યક્રમનું સંચાલન નોડલ અધિકારી ડૉ. અમિષા દવેએ કર્યું હતું. અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝાએ આભારવિધિ વ્યક્ત કરી. ઇન્ચાર્જ ઓફિસર તરીકે ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ કાર્ય સંભાળ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો હાજર રહી બજેટ અંગે વિસ્તૃત સમજ મેળવી. આ પ્રયાસ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય આર્થિક દ્રષ્ટિકોણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદરૂપ થયો.
ઉત્તર ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે મહેસાણા જિલ્લાના ઉનાવા અને વિસનગર સ્થિત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના કેન્દ્રો પર પોતાનો કપાસ વેચી શકશે. મહેસાણાના સાંસદ હરિ પટેલની રજૂઆત અને પ્રયાસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આ લોકહિત નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી સીધો ફાયદો સરહદી જિલ્લાના હજારો ખેડૂતોને થશે. ખેડૂતોને પાક વેચવા લાંબુ અંતર કાપવું પડશે નહીં અગાઉની વ્યવસ્થા મુજબ પાટણ અને બનાસકાંઠાના અનેક ગામો ભૌગોલિક રીતે ઉનાવા APMCની અત્યંત નજીક હોવા છતાં, જિલ્લો બદલાઈ જતો હોવાને કારણે ખેડૂતોને ત્યાં કપાસ વેચવાની પરવાનગી મળતી ન હતી. ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે લાંબુ અંતર કાપવું પડતું હતું, જે આર્થિક અને શારીરિક રીતે બોજારૂપ સાબિત થતું હતું. આ પડતર પ્રશ્નના ઉકેલ માટે સાંસદ હરિભાઈ પટેલે ગત 14 નવેમ્બર 2025ના રોજ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી વિસનગર મુખ્ય કેન્દ્ર અને ઉનાવા પેટા કેન્દ્રથી ફાયદોસાંસદની રજૂઆતને કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. નવી મંજૂરી અનુસાર, હવે વિસનગરને મુખ્ય કેન્દ્ર અને ઉનાવાને પેટા કેન્દ્ર તરીકે કાર્યરત રાખી પાટણ તથા બનાસકાંઠાના ખેડૂતોને સમાવી લેવામાં આવ્યા છે. આ સુવિધા ઉપલબ્ધ થતા હવે ખેડૂતો નજીકના કેન્દ્ર પર જઈને સરકારી ભાવે કપાસનું વેચાણ કરી શકશે. સ્થાનિક ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યોઆ અંગે ખુશી વ્યક્ત કરતા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. ઉનાવા કેન્દ્ર પાસે પાટણ જિલ્લાના અનેક ગામો આવેલા છે, જેમને હવે સીધો લાભ મળશે. ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણય બદલ સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કાપડ મંત્રીનો આભાર માન્યો હતો. આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના સહકારી માળખા અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની અપેક્ષા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. યુનિવર્સિટી માટે આ સિદ્ધિ પ્રથમવાર પ્રાપ્ત થતા એક નવો ઇતિહાસ રચાયો છે. ત્રીજા નંબર માટેની રેસ માટે આજે 14 ફેબ્રુઆરીએ ગત વર્ષની ઓલ ઈન્ડિયા ચેમ્પિયન રાજસ્થાનની કોટા યુનિવર્સિટીને હરાવી. જે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમના ખેલાડી દીક્ષિત વેકરીયાએ 51 બોલમાં 71 રન ફટકાર્યા હતા. આજે સ્પર્ધાના અંતિમ દિવસે ગત વર્ષની ઓલ ઇન્ડિયા ચેમ્પિયન કોટા યુનિવર્સિટી સામે મહત્વપૂર્ણ મુકાબલો રમ્યો હતો. પ્રથમ ઇનિંગમાં કોટા યુનિવર્સિટીએ 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરીને 20મી ઓવરમાં 152 રનનો ટાર્ગેટ પૂર્ણ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ મેચમાં દીક્ષિત વેકરીયાએ ઉત્તમ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે 51 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને જીત સુધી પહોંચાડીને મેન ઓફ ધ મેચ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રથમ ત્રણ લીગ મેચમાં દિલ્હી યુનિવર્સિટી અને કર્ણાટકની બેલગાવ યુનિવર્સિટી સામેની મેચ જીતી. જ્યારે ઉતરાંચલ યુનિવર્સિટી સામે હાર થઈ. જે બાદ ક્વાટર ફાઇનલમાં વડોદરા ની એમએસ યુનિવર્સિટીને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. જે બાદ દિલ્હી યુનિવર્સિટી સામે હાર થઈ. જોકે તે પછી ત્રીજા નંબરના સ્થાન માટે રાજસ્થાનની કોટા યુનિવર્સિટી સામે મેચ રમ્યો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી જીત હાંસલ કરી અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર ડો. મનીષ ધામેચા, શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.
મોડાસામાં ખેડૂત-શ્રમિક સંમેલન યોજાયું:વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન હેઠળ જાગૃતિ કાર્યક્રમ
મોડાસામાં એપીએમસી અને જિલ્લા સંઘ દ્વારા વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને શ્રમિકોને જી રામજી યોજના વિશે વિસ્તૃત માહિતી આપવાનો હતો. સંમેલનના મુખ્ય વક્તા મહામંત્રી રણધીર ચુડગરે ઉપસ્થિત ખેડૂતો અને શ્રમિકોને જી રામજી યોજનાની ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ યોજના શ્રમિકો માટે રોજગારીની દ્રષ્ટિએ આશીર્વાદરૂપ છે અને તેનાથી વર્ષમાં આશરે 180 દિવસ જેટલી રોજગારી મળી શકે છે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી દીપક પટેલ, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ, સહકારી અગ્રણી અને તાલુકા સંઘના ચેરમેન પંકજ પટેલ, જીનના ચેરમેન વિમલ પટેલ અને રાજુ સહિત એપીએમસીના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપના પ્રમુખ મહિપાલસિંહ રાઠોડે સૌને આવકાર્યા હતા, જ્યારે અંતમાં તાલુકા મહામંત્રી વસંત પટેલે આભાર દર્શન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ હતી. જિલ્લાના 11 કેન્દ્રો પૈકી 5 કેન્દ્રો પર બે સેશનમાં કુલ 521 વિદ્યાર્થીઓમાંથી 516 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 5 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે. આ પરીક્ષા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના કુલ 11 કેન્દ્રો પર શરૂ થઈ છે. શનિવારે, પરીક્ષાના નવમા દિવસે, 5 કેન્દ્રો પર સવાર અને બપોરના એમ બે સેશનમાં પરીક્ષા લેવાઈ હતી. વિષયવાર હાજરી જોઈએ તો, રસાયણ વિજ્ઞાનમાં 201 માંથી 201 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભૌતિક વિજ્ઞાનમાં 200 માંથી 195 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જીવ વિજ્ઞાનમાં 120 માંથી 120 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
રણાસણમાં બે સોનીની દુકાનમાં ચોરી:1.90 લાખની મત્તાની ફરિયાદ, CCTV આધારે તપાસ શરૂ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ બજારમાં ગત રાત્રિએ બે સોનીની દુકાનોમાં ચોરી થઈ હતી. તસ્કરોએ કુલ 1.90 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. આ અંગે વિક્રાંત સોનીએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિક્રાંતભાઈ કોદરલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રણાસણમાં તેમની 'વાઘેશ્વરી જ્વેલર્સ' નામની દુકાનનું શટર તોડી અજાણ્યા ચોરો અંદર પ્રવેશ્યા હતા. તેઓ ચાંદીના નાના-મોટા આશરે 950 ગ્રામ દાગીના, જેની કિંમત આશરે 1,30,000 રૂપિયા છે, તે ચોરી ગયા હતા. આ ઉપરાંત, સોનાની પેંચ અને સોનાની ચૂની મળી કુલ 4 ગ્રામ સોનું, જેની કિંમત 25,000 રૂપિયા છે, અને 10,000 રૂપિયાના અન્ય દાગીના પણ ચોરાયા હતા. ચોરોએ જયેશભાઈની 'દિપાંજલી જ્વેલર્સ'માંથી પણ આશરે 25,000 રૂપિયાના દાગીના ચોર્યા હતા. કુલ મળીને 1,90,000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં આજે વેલેન્ટાઈન ડેના દિવસે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પશ્ચિમ સંસ્કૃતિના અનુકરણના નામે યુવક-યુવતીઓને પરેશાન કર્યા હતા. રાજકોટના રેસકોર્ષ સ્થિત 'લવ ગાર્ડન'માં બપોરના સમયે યુવક-યુવતીએ બેઠા હતા ત્યારે બજરંગદળ અને વિહિપના કાર્યકર્તાઓએ પહોંચી જયશ્રી રામના નારા લગાવતા યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. વિહિપના આગેવાને જણાવ્યું હતું કે, યુવક-યુવતીએ ઘરેથી ખોટું બોલી અહીં આવે છે. વેલેન્ટાઈન ડે, રોઝ ડે , પ્રોમિસ ડે ન ઉજવવા જોઈએ આજના દિવસે ઘરે માતાપિતાનું પૂજન કરવું જોઈએ. રાજકોટના 'લવ ગાર્ડન'માં 'જયશ્રી રામ'ના નારા લાગતા નાસભાગ મચીઆજે વેલેન્ટાઈન ડે હોય રાજકોટના રેસકોર્ષ પાસે આવેલા 'લવ ગાર્ડન'માં યુવક-યુવતીઓ આવ્યા હતા અને બેસ્યા હતા. ત્યારે જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અહીં પહોંચી જયશ્રી રામના સૂત્રોચ્ચાર કરતા યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. આજના દિવસે ઘરે માતાપિતાનું પૂજન કરવું જોઈએ- પરેશ રાવલપરેશ રાવલે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે પુલવામાં હુમલાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની પેઢી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ગઈ છે. વેલેન્ટાઈન ડે અને રોઝ ડે ની ઉજવણી કરી રહી છે. આજના દિવસે માતૃ પિતૃ પૂજન સહિતના કાર્યક્રમો કરવા જોઈએ. યુવક યુવતીઓ ઘરેથી ખોટું કહીને અહીં ગાર્ડનમાં આવે છે અને ખોટા કામ કરે છે. તેને અટકાવવા માટે અમે આવ્યા છીએ. તેમણે જણાવ્યું કે, વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે વિદ્યાર્થીઓ ઘરેથી સ્કૂલ અને કોલેજનું કહી નીકળતા હોય છે અને ત્યારબાદ રેસ્ટોરન્ટ કે ગાર્ડનમાં જતા હોય છે અને અંગત પળો માણતા હોય છે.આ સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ છે. જેથી અમે અહીં રેસકોર્સ મેદાનમાં એકત્ર થયા છીએ. આ દરમિયાન જયશ્રી રામ અને પશ્ચિમી સંસ્કૃતિનો નાશ કરોના નારા લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન
PM Modi In Assam: આસામમાં ચાલુ વર્ષ વિધાનસભાની ચૂંટણી આવશે તે પહેલા જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ચૂંટણી રણમાં રાજનૈતિક પાર્ટીઓએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં વાયુસેનાના C-130 એરક્રાફ્ટથી પહોંચ્યા હતા. મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર લેન્ડિંગ કર્યું હતું. જે બાદ 3,030 કરોડના ખર્ચે બ્રહ્મપુત્ર નદી પર બનેલા ભાસ્કર વર્મા સેતુ અને IIM ગુવાહાટીના ટેમ્પરરી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે એક છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી. બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં બનેલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, છકડો રીક્ષા ચાલક લીલાપરથી જોધપર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પુલના વળાંક પાસે આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. સામેથી વાહન આવતા, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ રીક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત મચ્છુ નદી પરના પુલના લીલાપર તરફના છેડે આવેલા વળાંક પર બન્યો હતો. આ વળાંક એવો છે કે સામેથી આવતા વાહનો દેખાતા નથી, જેના કારણે આ સ્થળે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. અકસ્માત સમયે પાછળથી એક ટ્રક ટ્રેલર પણ આવી રહ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. નજીકના કારખાનાના સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે વ્યાપકપણે શેર થઈ રહ્યા છે.
વડોદરા શહેરમાં મહાશિવરાત્રિના પર્વે નીકળનારી પરંપરાગત ‘શિવજી કી સવારી’ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સજ્જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજનમાં અંદાજે 5 લાખથી વધુની જનમેદની ઉમટવાની શક્યતાને પગલે 9 DCP, 16 ACP, 85 PI અને 175 PSI સહિત કુલ 3500 પોલીસ કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત, 450 ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ તેમજ 750 હોમગાર્ડ્સ (GSD)ના જવાનો ફરજ બજાવશે. રાજ્યના ગૃહમંત્રીની સુરક્ષા માટે સ્ટેટ રિઝર્વ ફોર્સ (SRF) અને રેપિડ એક્શન ફોર્સ (RAF) પણ તૈનાત રહેશે. હાઈરાઈઝ બિલ્ડિંગો અને બેઝમેન્ટ પાર્કિંગનું સઘન ચેકિંગસંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રિનો તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય છે. યાત્રા દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર છેલ્લા એક અઠવાડિયાથી કાર્યરત છે. યાત્રાના રૂટ પર આવતા મકાનોની અગાશીઓ, ધાર્મિક સ્થળો, શોપિંગ સેન્ટરો, થિયેટરો અને હાઈરાઈઝ બિલ્ડિંગોના બેઝમેન્ટ પાર્કિંગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. હાઈરાઈઝ બિલ્ડિંગો અને બેઝમેન્ટ પાર્કિંગનું સઘન ચેકિંગસંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રિનો તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય છે. યાત્રા દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર છેલ્લા એક અઠવાડિયાથી કાર્યરત છે. યાત્રાના રૂટ પર આવતા મકાનોની અગાશીઓ, ધાર્મિક સ્થળો, શોપિંગ સેન્ટરો, થિયેટરો અને હાઈરાઈઝ બિલ્ડિંગોના બેઝમેન્ટ પાર્કિંગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. રૂટ પર સતત ફૂટ પેટ્રોલિંગ અને મોનિટરિંગસુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, તહેવાર પૂર્વે જ શિવજી કી સવારીના રૂટ પર સતત ફૂટ પેટ્રોલિંગ અને રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. PCB, SOG અને DCB સહિતની વિવિધ ટીમો દ્વારા સંવેદનશીલ તથા અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરમાં શિવજી કી સવારી ઉપરાંત અન્ય 23 સ્થળોએ પૂજા-આરતીના કાર્યક્રમો યોજાવાના છે, જેના માટે પોલીસે આયોજકો સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી છે. ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષા અને પોલીસ રિહર્સલમહાશિવરાત્રિના અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના મહેમાન બનવાના છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. આજે પોલીસ દ્વારા સમગ્ર એક્શન પ્લાનનું રિહર્સલ પણ કરવામાં આવશે, જેથી આવતીકાલે કોઈ ક્ષતિ ન રહી જાય. ભારત-પાકિસ્તાન મેચને લઈ પોલીસ એલર્ટઆવતીકાલે મહાશિવરાત્રિની સાથે જ ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ યોજાવાની છે. મેચને કારણે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થવાની શક્યતા છે, જેને પગલે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. સોશિયલ મીડિયા દ્વારા કોઈ અસામાજિક તત્વો વાતાવરણ ન ડહોળે તે માટે સાયબર ક્રાઈમ પોલીસને સતત વોચ રાખવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના ફતેહવાડીમાં મોડીરાતે બે રાઉન્ડ ફાયરીંગની ઘટના ઘટ્યા બાદ ગઈકાલે(13 ફેબ્રુઆરી) મોડીરાતે બાપુનગરના છેલ્લા બસસ્ટેન્ડ પાસે કાકા ભત્રીજાએ બે યુવક પર છરીઓના ઘા ઝીંકી દીધા છે. ઈજાગ્રસ્ત બંને યુવકોની હાલત નાજુક છે, જ્યારે પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે. સિગારેટ પીવા જેવી બાબતને લઈને કાકા ભત્રીજાએ મોડીરાતે ખુની ખેલ ખેલ્યો હતો. કાકા-ભત્રીજાએ બે યુવક પર છરીના ઘા ઝીંક્યાનિકોલ વિસ્તારમાં આવેલા ઉત્તમનગર ખાતે રહેતા જીતેન્દ્રસિંહ વિશ્વનાથસિંહ ચૌહાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં શીવકુમાર ઉર્ફે લલ્લુ રાજપુત અને દેવ રાજપુત (બંને રહે. ઈન્દિરાનગરના છાપરા, બાપુનગર) વિરૂદ્ધ હત્યાની કોશિષ તેમજ તોડફોડની ફરિયાદ કરી છે. જીતેન્દ્રસિંહ સંયુક્ત પરિવારમાં રહે છે અને વિરાનગર ખાતે આવેલી શિવાલીક હોસ્પિટલની બાજુમાં પાર્વતી એસ્ટેટમાં કાવ્યાઆર્યુહ નામથી સાબુ બનાવવાનું કામ કરે છે. જીતેન્દ્રસિંહ વર્ષોથી વિરાટનગર રહેતો હોવાથી તે અવારનવાર બાપુનગર જતો હતો. બાપુનગરમાં જીતેન્દ્રસિંહ શિવકુમાર અને તેના ભત્રીજા દેવ રાજપુતને સારી રીતે ઓળખે છે. ગઈકાલે(13 ફેબ્રુઆરી) રાતે આઠ વાગ્યાની આસપાસ જીતેન્દ્રસિંહ તેના મિત્ર રવિ રાજપુત તથા રોહન સાથે કાર લઈને બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ગયો હતો. જ્યાં તેણે ગલ્લેથી સિગારેટ ખરીદીને જાહેરમાં પીતા હતાં. તે સમયે શીવકુમાર અને દેવ રાજપુત આવ્યા હતાં. આગળ જઈને સિગારેટ પીવાનું કહ્યું ને બબાલકાકા ભત્રીજાએ આવતાની સાથે જ જીતેન્દ્રને કહ્યું હતું આગળ જઈને સિગારેટ પીવો. બંનેની વાત સાંભળીને જીતેન્દ્રએ જવાબ આપ્યો હતો કે, હું અહીયા જાહેરમાં સીગારેટ પીવુ છું તો તમને શુ તકલીફ છે. જીતેન્દ્રનો જવાબ સાંભળીને શિવકુમાર અને દેવ ઉશ્કેરાયા હતા અને ગાળો આપવા લાગ્યા હતાં. જીતેન્દ્રએ બંનેને ગાળો બોલવાની ના પાડી હતી અને શાંતિથી વાત કરવાનું કહ્યું હતું. છરી કાઢી ને છાતીમાં મારી દીધીબંને એટલા આવેશમાં આવી ગયા કે જીતેન્દ્રને ગાળદાપાટુનો મારમારવા લાગ્યા હતાં. આ સામે જીતેન્દ્રના બંને મિત્રો રોહન અને રવી તેને બચવાવવા માટે વચ્ચે પડ્યા હતા. દરમિયાનમાં દેવ રાજપુતે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને રોહનની છાતીમાં મારી દીધી હતી. બંને લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યાતો બીજી તરફ શીવકુમારે પણ છરી કાઢી હતી અને રોહનના માથામાં તેમજ સાંથળના ભાગે મારી દીધી હતી. શિવકુમારે જીતેન્દ્રના બીજા મિત્ર રવિના માથામાં પણ છરી મારી દીધી હતી. રવિ અને રોહન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા, જેથી જીતેન્દ્રએ બુમાબુમ કરી દીધી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરારબન્ને કાકા ભત્રીજાએ મચાવેલા આંતક બાદ તે જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતાં. જીતેન્દ્રએ તરતજ એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. રોહન અને રવિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યા તેમની હાલત નાજુક છે. સિગારેટ પીવા જેવી બાબતે જીવલેણ હુમલોઘટનાની જાણ બાપુનગર પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને જીતેન્દ્રના નિવેદનના આધારે શિવકુમાર અને દેવ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતને લઈને આ હુમલો કરાયો છે કે પછી હકીકત કઈક અલગજ છે તે પોલીસની તપાસ બાદ સામે આવશે.
તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. સોનગઢના ઓટા ગામેથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹7.83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે, સોનગઢના ઓટા ગામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. મહારાષ્ટ્ર તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ રંગની જીપ કમ્પાસ કાર (નંબર: MH-15-JX-0369) ને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોલીસને જોઈને ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગાડીને ઘેરી લીધી હતી. આ દરમિયાન ગાડીમાંથી બે ઈસમો ઉતરીને ભાગવા લાગ્યા હતા. પોલીસે તેમાંથી અનિલ રતિલાલ ગામીત (રહે. રાણીઆંબા) ને દબોચી લીધો હતો, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. વાહન તલાશી દરમિયાન, પોલીસે જીપ કમ્પાસની વચ્ચેની સીટો કાઢીને બનાવેલા ગુપ્ત ખાનાઓ અને ડેકીમાંથી વિદેશી દારૂની કુલ 1642 નંગ નાની-મોટી બોટલો શોધી કાઢી હતી. પોલીસે આ કાર્યવાહીમાં ₹2,53,860/- ની કિંમતનો વિદેશી દારૂ, ₹5,00,000/- ની જીપ કમ્પાસ કાર અને ₹30,000/- ની કિંમતના 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹7,83,860/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો સોનગઢનો કુખ્યાત બુટલેગર જયેશ શંકર રાઠોડ મહારાષ્ટ્રથી ઓટા ગામ થઈને મંગાવી રહ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, મુખ્ય બુટલેગર જયેશ રાઠોડ સહિત અન્ય ચાર ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ કેસની વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં અસંતોષ ઉગ્ર બન્યો છે. જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ સહિતના હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે પોતાના રાજીનામા સુપરત કર્યા છે. મહામંત્રી પદની અપેક્ષા પૂર્ણ ન થતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રાજીનામા સાથે અત્યાર સુધીમાં કુલ 22 હોદ્દેદારોએ પક્ષના હોદ્દા પરથી મુક્તિ માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આગામી સમયમાં સંગઠન દ્વારા કોઈ સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો 100થી વધુ સક્રિય કાર્યકરો અને હોદ્દેદારો પણ રાજીનામા આપી શકે છે. આજે રાજીનામા આપનારા મુખ્ય હોદ્દેદારોમાં જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ ડાહ્યાભાઈ પટેલ, કોષાધ્યક્ષ રણજીત સિંહ વાસિયા અને જલાલપોર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી રાજેશ રાઠોડનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપના નવા સંગઠન માળખામાં મહામંત્રી જેવા મહત્વના પદ પર જલાલપોર તાલુકાના પ્રતિનિધિને સ્થાન ન મળતા કાર્યકરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. કાર્યકરોનો આક્ષેપ છે કે તાલુકાની સતત અવગણના કરવામાં આવી રહી છે, જેના પરિણામે આ રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લાના નવા સંગઠનમાં જલાલપોર તાલુકાને અન્યાય : હિતેશ પટેલજલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલે કહ્યું કે આજે મારી સાથે મારી ટીમમાંથી કોષાધ્યક્ષ અને બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ પણ રાજીનમું આપ્યું છે. આ ઉપરાંત તાલુકા ભાજપ ઉપપ્રમુખ પણ રાજીનામું આપવાના છે. આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ એ છે કે જલાલપોરને કાયમ માટે અન્યાય થઈ રહ્યો છે. અમારી ભલામણ હતી કે જિલ્લા સંગઠનમાં જલાલપોરમાંથી એક મહામંત્રીપદ આપો. આવું ન થયું એટલે હોદ્દેદારો-કાર્યકરોમાં નારાજગી છે અને વારાફરતી રાજીનામાં આપી રહ્યા છે. અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે કાર્ય કામ કરવાના જ છીએ અમે ભાજપને છોડીને કોઈ બીજા પક્ષમાં જવાનો કોઈ પ્લાનિંગ છે જ નહીં. અમે કાર્યકર્તા તરીકે કંટીન્યુસ ભાજપ જોડે ઊભા રહીશું. અમે રાજીનામા આપવા બાબતે જિલ્લા પ્રમુખ ભુરાભાઈને ફોન કર્યો હતો, કદાચ તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત હશે એટલે વાત થઈ શકી નથી. અમે અમારા રાજીનામા તેમના ટેબલ પર મૂકી દીધા છે.
બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં માનસિક દબાણ વધતું જોવા મળી રહ્યું છે. પાટણની પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસ મુજબ, પાટણ અને સિદ્ધપુર તાલુકાના 84% વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ભારે ચિંતા અને ભય અનુભવી રહ્યા છે. મનોવિજ્ઞાન વિભાગના એમ.એ. સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓ પંચાલ લાલજી અને કડીવાલા હમેદાફાતેમાએ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ આ સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં સામે આવેલા આંકડા વિદ્યાર્થીઓની કથળતી માનસિક સ્થિતિ તરફ આંગળી ચીંધે છે: 78% વિદ્યાર્થીઓને સતત નાપાસ થવાનો ડર સતાવી રહ્યો છે. 67% વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા વિરુદ્ધ માતા-પિતાના દબાણ હેઠળ તૈયારી કરે છે. 81% વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવને કારણે શારીરિક રીતે બીમાર પડે છે. 92% વિદ્યાર્થીઓએ ઊંઘ ન આવવી અને ખોરાક પ્રત્યે અરુચિ જેવી સમસ્યાઓ સ્વીકારી છે. 68% વિદ્યાર્થીઓ વાંચતી વખતે એકાગ્રતાનો અભાવ અને વારંવાર મોબાઈલ વાપરવાની ઈચ્છા અનુભવે છે. શારીરિક અને માનસિક અસરોસર્વે દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેક ગંભીર લક્ષણો નોંધાયા હતા, જેમાં માથાનો દુખાવો, યાદશક્તિમાં ઘટાડો, બેચેની, ઉબકા, ચક્કર અને પાચન સંબંધિત તકલીફો મુખ્ય છે. આશરે 67% વિદ્યાર્થીઓ તો પરીક્ષાનું નામ સાંભળતા જ એટલી ગભરાહટ અનુભવે છે કે તેઓ વાંચેલું પણ ભૂલી જાય છે. આત્મવિશ્વાસમાં ઘટાડો અને નકારાત્મક વિચારો પણ વિદ્યાર્થીઓને સતત ઘેરી વળ્યા છે. તણાવમુક્તિ માટે નિષ્ણાતોની માર્ગદર્શિકાસર્વેક્ષણના અંતે વિદ્યાર્થીઓને આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે ચોક્કસ સૂચનો આપવામાં આવ્યા છે. વૈજ્ઞાનિક અભિગમ: પરીક્ષા સમયે વર્ગખંડમાં શાંતિ જાળવવી અને પેપર લખતા પહેલા 5 મિનિટ આંખો બંધ કરીને ધ્યાન (Meditation) ધરવું. જીવનશૈલીમાં સુધારો: દૈનિક આયોજનમાં પૂરતી ઊંઘ, સંતુલિત આહાર અને નિયમિત કસરત કે યોગનો સમાવેશ કરવો. લેખન અને પુનરાવર્તન: માત્ર વાંચવાને બદલે લખવાની આદત રાખવી અને વારંવાર રિવિઝન કરવું. મદદ મેળવો: જો ગભરામણ વધુ હોય તો સંકોચ રાખ્યા વિના મિત્રો, વાલી કે પ્રોફેશનલ કાઉન્સેલરની મદદ લેવી. આ સમગ્ર સર્વેક્ષણને કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન પારેખ અને એનજીઈએસના સીડીઓ જય ધ્રુવ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે, વાલીઓએ પણ બાળકો પર અપેક્ષાઓનું ભારણ ઘટાડી તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
રાજપુરમાં NSSનો સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન:યુવાઓએ સ્વચ્છતા, આરોગ્ય અને સેવા દ્વારા ગામમાં છોડી છાપ
મોડાસા તાલુકાના રાજપુર ગામ ખાતે શામળાજી પ્રદેશ સેવા કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ શામળાજી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) અંતર્ગત સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન થયો છે. આ યુવા શિબિર ‘સ્વચ્છ, સ્વસ્થ સમુદ્રગામ’ના બેનર હેઠળ યોજાઈ હતી. કેમ્પના સમાપન સમારોહમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા સંઘના ચેરમેન અને સામાજિક કાર્યકર પ્રભુદાસ પટેલ મુખ્ય મહેમાન હતા. સામાજિક કાર્યકર નિલેશ જોષી, માદેવ ગામના સરપંચ પંકજસિંહ રાઠોડ, રામદેવ મંદિરના ટ્રસ્ટી પનાભાઈ પટેલ સહિત ગામજનો અને રામદેવ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાત દિવસીય કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત કરી હતી. તેમણે યોગ-વ્યાયામ, સ્વચ્છતા અભિયાન, લોકસંપર્ક, રમતગમત, નેત્ર નિદાન કેમ્પ અને પશુ સારવાર કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કોલેજના આચાર્ય અજયભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કરીને કેમ્પની રૂપરેખા અને અહેવાલ રજૂ કર્યો હતો. અધ્યક્ષ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે એનએસએસ વિદ્યાર્થીઓમાં સેવા સાથે નેતૃત્વ, ટીમવર્ક, જવાબદારી અને માનવતા જેવા ગુણો વિકસાવે છે. તેમણે ઉમેર્યું કે મોટા બદલાવની શરૂઆત હંમેશા નાના પગલાથી થાય છે. પ્રભુદાસ પટેલે સેવાના અવસરને રામદેવજીની કૃપા ગણાવ્યો અને માતા-પિતાને ભગવાન સમાન માની તેમની સેવા કરવાની ભાવના રાખવા જણાવ્યું. સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશ જોષીએ શિસ્ત, સેવા અને સદભાવનાને દેશ અને સમાજના વિકાસના મુખ્ય સ્તંભ ગણાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આ મૂલ્યો જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા, ડૉ. જાગૃતિ પટેલ તેમજ રાજપુર ગામ દૂધ ડેરી અને રામદેવજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે મહાદેવગ્રામના સરપંચ પંકજસિંહ રાઠોડ અને ગામજનોએ આર્ટસ કોલેજ શામળાજીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલી મણિનગર સોસાયટીમાં મોડી રાત્રે એક ભેંસના તબેલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તબેલામાં બાંધેલા મૂંગા પશુઓ ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે હજારો રૂપિયાનો ઘાસચારો મળીને ખાક થઈ ગયો છે. તબેલા માલિક દ્વારા આ આગ અકસ્માત નહીં પરંતુ, કોઈના દ્વારા જાણી જોઇને આ આગ લગાવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક જાગી જઈને આગ ઠારવાના પ્રયાસો હાથ ધર્યામળતી માહિતી મુજબ પાંડેસરાના મણિનગર વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકનો ગાય-ભેંસનો તબેલો આવેલો છે. વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ જ્યારે બધા સૂતા હતા ત્યારે અચાનક તબેલામાં અચાનક આગની લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ તાત્કાલિક જાગી જઈને આગ ઠારવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. મૂંગા પશુઓ બન્યા ભોગઆ કમકમાટીભરી ઘટનામાં બે થી ત્રણ ભેંસો ગંભીર રીતે દાઝી ગઈ છે. પશુઓના કરુણ આક્રંદથી આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પશુપાલકના જણાવ્યા અનુસાર, આ આગમાં ઘાસચારો, સાધન-સામગ્રી અને પશુઓની ઈજા મળીને અંદાજે 70થી 80 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. એક મધ્યમવર્ગીય પશુપાલક માટે આ આર્થિક ફટકો ખૂબ જ મોટો છે. 20 વર્ષથી તબેલો ચલાવીએ છીએ પહેલીવાર આવી ઘટના બનીતબેલા માલિકે રાજકુમાર શર્માએ જણાવ્યું હતું કે, અમે અહીં છેલ્લા 20 વર્ષથી તબેલો ચલાવીએ છીએ, પરંતુ આજ દિન સુધી ક્યારેય આવી કોઈ ઘટના બની નથી. આ કોઈ અકસ્માત નથી, પરંતુ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈરાદાપૂર્વક લગાડવામાં આવેલી આગ છે. રાત્રિના અંધકારનો લાભ લઈ કોઈ અસામાજિક તત્વોએ પશુઓને નુકસાન પહોંચાડવાના આશયથી આ કૃત્ય કર્યું હોવાનું અમને લાગી રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. તબેલા માલિકે પોલીસ અને વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જે પણ અસામાજિક તત્વોએ મૂંગા પશુઓના જીવ જોખમમાં મૂક્યા છે અને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, તેમને વહેલી તકે શોધી કાઢીને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં એક દંપતી ચાલતું જઈ રહ્યું હતું, ત્યારે બાઈક પર બે શખ્સ આવીને મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચવા જતા હતાં. જેમાંથી પાછળ બેઠેલો શખ્સ બાઇક પરથી નીચે પડી ગયો હતો. જેને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. જ્યારે બાઇક ચાલકને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધો છે. બે શખ્સે સોનાનો દોરો લૂંટ કરવાની કોશિશ કરીવસ્ત્રાપુરમાં રહેતા દિનેશભાઈ ગેહલોત તેમના પત્ની સરોજબેન સાથે 13 ફેબ્રુઆરીને રાત્રે 9 વાગ્યાની આસપાસ જમીને ચાલવા નીકળ્યા હતાં.જજીસ બંગલો રોડથી માનસી સર્કલ બાજુ પતિ-પત્ની ચાલતા જતા હતાં. આ દરમિયાન પકવાન તરફથી એક બાઈક પર અચાનક બે શખ્સ આવ્યા હતા, જેમણે સરોજબેનના ગળામાં રહેલો સોનાનો દોરો લૂંટ કરવાની કોશિશ કરી હતી. એક શખ્સ ચેઈન ખેંચવા જતા પડ્યોજો કે દોરો તૂટ્યો ન હતો અને સરોજબેન નીચે પડી ગયા હતાં. દોરો તોડવાનો પ્રયાસ કરનાર બાઈકની પાછળ બેઠેલો વ્યક્તિ પણ નીચે પડી ગયો હતો. જ્યારે બાઈકચાલક નાસી ગયો હતો. શખ્સને લોકોએ પકડીને પોલીસને સોંપ્યોદંપતિએ બૂમાબૂમ કરતા આસપાસના માણસો ભેગા થયા હતા અને દોરી તોડવાનો કરવાનો પ્રયાસ કરનાર વિજય બોડાણાને ઝડપી લીધો હતો. સ્થાનિકોએ વિજય બોડાણાને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. બંને શખ્સની ધરપકડવસ્ત્રાપુર પોલીસે સ્થળ પર પહોંચીને વિજય બોડાણાની પૂછપરછ કરીને તેના સાથી બાઇકચાલક હાર્દિક ચૌહાણની પણ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બંને બેરોજગાર છે અને પૈસા માટે આ રીતે ચોરી કરતા હતા. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. વસ્ત્રાપુર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા 14 ફેબ્રુઆરી, 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે 'બ્લેક ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. આ હુમલો કાશ્મીરના પુલવામા ખાતે થયો હતો, જેમાં સેનાના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રો. અરુણસિંહ સોલંકીએ પુલવામા હુમલાની વિગતવાર માહિતી આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડેએ 14 ફેબ્રુઆરીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં વેલેન્ટાઈન ડે, માતૃ-પિતૃ પૂજન દિવસ અને શહીદ દિવસ જેવા વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ શહીદોને યાદ કરીને તેમને શત શત નમન કર્યા હતા. પ્રતિકાત્મક રીતે મીણબત્તીઓ પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શહીદોના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રોફેસર અજીતસિંહ ચૌહાણે આભાર વિધિ કરી હતી.
વિકસિત કેરલમ કાર્યક્રમ અંતર્ગત કેરલાના ભાજપના જનપ્રતિનિધિઓ મુલાકાત આવી પહોચ્યા હતા. તેઓએ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી તેમજ બજેટ અંગેની તેઓને માહિતી આપવામાં આવી હતી. ભાજપના પ્રતિનિધિઓનું મંડળ વડોદરાની બે દિવસની મુલાકાતે આવ્યુંભાજપાના વિકસિત કેરલમ પ્રોજેક્ટ અંતર્ગત કેરેલાના ભાજપના પ્રતિનિધિઓનું એક મંડળ વડોદરાની બે દિવસની મુલાકાતે આવ્યું છે. આજે સવારે તેઓનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓએ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલતા પ્રોજેક્ટ તેમજ મહાનગરપાલિકાની કાર્યશૈલી અંગે તેઓને માહિતી આપવામાં આવી હતી. મેયર પિંકી સોની દ્વારા મહાનગરપાલિકા અંગેની માહિતી આપવામાં આવી હતી. આવતીકાલે યોજાનારી શિવજી કી સવારી કાર્યક્રમમાં પણ જોડાશેમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ કેરલાના જનપ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રિવેન્દ્રમ મહાનગરપાલિકામાં ભાજપે જીત હાંસલ કરી છે ત્યાર બાદ ત્યાંનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓની મુલાકાત લેશે જેના ભાગરૂપે તેઓ વડોદરા ખાતે બે દિવસ આવ્યા છે. તેઓ આવતીકાલે યોજાનારી શિવજી કી સવારી કાર્યક્રમમાં પણ જોડાશે. ઘણા પ્રોજેક્ટ્સ ખૂબ સારા છે જેને અમે અમલી કરવાના પ્રયાસો કરીશુંમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આ પ્રતિનિધિ મંડળ વડોદરા, સુરત જેવી મહાનગરપાલિકાઓની મુલાકાત લેશે અને અહીંની કાર્યપ્રણાલી તેમજ વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવશે. ત્રિવેન્દ્રમ મહાનગરપાલિકાના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ આભાર. અમે અહીંના પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી છે અને અમારા વિસ્તારમાં તેને કેવી રીતે લાગુ કરી શકાય તે અંગેની પણ ચર્ચા કરી છે. ઘણા પ્રોજેક્ટ્સ ખૂબ સારા છે જેને અમે અમલી કરવાના પ્રયાસો કરીશું
છોટા ઉદેપુર: રૂ. 5.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:રંગપુર નાકા પાસેથી બોલેરો ગાડીમાંથી એક આરોપીની ધરપકડ
છોટા ઉદેપુર ટાઉન પોલીસે રંગપુર નાકા પાસેથી રૂ. 5,44,944/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા રંગપુર નાકા પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન MP 46 ZE 0396 નંબરની એક બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1944 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. 5,44,944/- આંકવામાં આવી છે. પોલીસે બોલેરો ગાડીના ચાલક કમલેશભાઈ રૂમાલભાઈ અજનાર (રહે. અજનાર ફળિયા, ચિખલકુઇ, તા.જી. અલીરાજપુર) ની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, બોલેરો ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 12,56,044/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત સક્રિય રહે છે.
મહેસાણા જિલ્લામાં શિયાળુ વાવેતરનો ધમધમાટ:ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં મોટો ઉછાળો
ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં શિયાળુ રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત ચોમાસાની અંતિમ વિદાય વેળાએ થયેલા વિપુલ વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું છે.જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર દર વર્ષની સરેરાશની સરખામણીએ આ વર્ષે વાવેતરના આંકડામાં મોટો વધારો નોંધાયો છે. આગામી સમયમાં શિયાળુ પાકનું બમ્પર ઉત્પાદન થવાની પૂરેપૂરી સંભાવનાસામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકોનું સરેરાશ વાવેતર 1,80,476 હેક્ટર જેટલું થતું હોય છે પરંતુ, આ વર્ષે કુદરતી કૃપા અને અનુકૂળ વાતાવરણને લીધે કુલ 1,88,906 હેક્ટર જમીનમાં વાવેતર સંપન્ન થયું છે. આ આંકડા દર્શાવે છે કે, જિલ્લામાં ખેતી હેઠળનો વિસ્તાર વધતા આગામી સમયમાં શિયાળુ પાકનું બમ્પર ઉત્પાદન થવાની પૂરેપૂરી સંભાવના છે. જીરું, વરિયાળી અને શાકભાજી જેવા રોકડિયા પાકોનું પણ મોટાપાયે વાવેતરપાકવાર વિગતો પર નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું થયું છે.કુલ 68,178 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરીને ખેડૂતોએ આ પાક પર સૌથી વધુ પસંદગી ઉતારી છે. આ ઉપરાંત અન્ય મુખ્ય પાકોમાં રાઈનું 23,765 હેક્ટર,તમાકુનું 23,885 હેક્ટર અને પશુઓના ઘાસચારા માટે 41,931 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય જીરું, વરિયાળી અને શાકભાજી જેવા રોકડિયા પાકોનું પણ મોટા પાયે વાવેતર થયું છે. આ વર્ષે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહીમહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી અનિષ ભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોમાસાના અંતમાં મોડે મોડે પડેલા સારા વરસાદને કારણે શિયાળુ ખેતી માટે પૂરતું પાણી અને અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે જિલ્લામાં વાવેતરનો વ્યાપ વધ્યો છે. હાલના તબક્કે પાકની સ્થિતિ જોતા આ વર્ષે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.
રાજપુરમાં NSSનો સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન:યુવાઓએ સ્વચ્છતા, આરોગ્ય અને સેવા દ્વારા જાગૃતિ ફેલાવી
મોડાસા તાલુકાના રાજપુર ગામ ખાતે શામળાજી પ્રદેશ સેવા શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત સાત દિવસીય સેવા કેમ્પ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. ‘સ્વચ્છ, સ્વસ્થ સમુદ્રગામ’ના બેનર હેઠળ યોજાયેલા આ યુવા શિબિરમાં વિદ્યાર્થીઓએ ગામમાં અનોખી છાપ છોડી હતી. આ સેવા કેમ્પના સમાપન સમારોહમાં વિવિધ આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ, મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા સંઘના ચેરમેન અને સામાજિક કાર્યકર પ્રભુદાસ પટેલ હાજર રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે સામાજિક કાર્યકર નિલેશ જોષી, માદેવ ગામના સરપંચ પંકજસિંહ રાઠોડ, રામદેવ મંદિરના ટ્રસ્ટી પનાભાઈ પટેલ તથા ગામજનો અને રામદેવ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત કરી હતી. તેમણે યોગ-વ્યાયામ, સ્વચ્છતા અભિયાન, લોકસંપર્ક, રમતગમત, નેત્ર નિદાન કેમ્પ અને પશુ સારવાર કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કોલેજના આચાર્ય અજય પટેલે મહેમાનોનું સ્વાગત કરતા કેમ્પની રૂપરેખા અને અહેવાલ રજૂ કર્યો હતો. અધ્યક્ષ અરુણ પટેલે પોતાના સંબોધનમાં યુવાઓને વ્યસનમુક્ત રહી દેશના વિકાસ માટે સેવાકીય કાર્યમાં જોડાવા પ્રેરણા આપી હતી. પ્રભુદાસ પટેલે જણાવ્યું હતું કે જે પવિત્ર સ્થાને સેવા કરવાનો અવસર મળ્યો છે તે રામદેવજીની કૃપા છે, અને જીવનમાં જન્મદાતા માતા-પિતાને પણ ભગવાન સમાન માન આપી સેવા કરવાની ભાવના રાખવી જોઈએ. સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશ જોષીએ શિસ્ત, સેવા અને સદભાવના દેશ અને સમાજના વિકાસના મુખ્ય સ્તંભ હોવાનું જણાવી વિદ્યાર્થીઓને આ મૂલ્યો જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા, ડૉ. જાગૃતિ પટેલ તેમજ રાજપુર ગામ દૂધ ડેરી અને રામદેવજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે મહાદેવ ગામના સરપંચ અને ગ્રામજનોએ આર્ટસ કોલેજ, શામળાજીનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે વિદાય આપી હતી.
આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળવા રવાના થયું હતું, પરંતુ રાજ્યપાલ તરફથી સમય ફાળવવામાં આવ્યો ન હોવાનું AAPએ જણાવ્યું છે. આ મુદ્દે AAPએ ભાજપ સરકાર અને રાજ્યપાલની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યપાલ પોતે ન મળી શકે તો એમના પ્રતિનિધિને આવેદનપત્ર સ્વીકારવા મોકલેપ્રેસ કોન્ફરન્સમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, AAP રાષ્ટ્રીય પાર્ટી છે અને ગુજરાતમાં પાંચ ધારાસભ્યો સાથે સક્રિય રીતે લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે છતાં રાજ્યપાલ તરફથી મુલાકાત માટે સમય આપવામાં આવતો નથી. અગાઉ રાજકોટ ગેમ ઝોન સહિત વિવિધ જાહેર મુદ્દાઓ પર પત્ર આપવામાં આવ્યા હોવા છતાં મુલાકાત ન મળતાં આજે પાર્ટી દ્વારા સત્તાવાર આવેદનપત્ર રાજ્યપાલના કાર્યાલયે સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. “રાજ્યપાલ પોતે ન મળી શકે તો એમના પ્રતિનિધિને આવેદનપત્ર સ્વીકારવા મોકલે,” એવી માંગ પણ તેમણે કરી. અમેરિકા-ભારત ટ્રેડ ડીલ મુદ્દે ચિંતાઇસુદાન ગઢવીએ અમેરિકા-ભારત વચ્ચે થનારી સંભવિત ટ્રેડ ડીલ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે જો અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનોને શૂન્ય ડ્યુટી સાથે ભારતમાં પ્રવેશ આપવામાં આવશે તો સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થશે. “અમેરિકામાં ખેડૂતોને અંદાજે 54 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે, જેના કારણે તેમનો ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે. આવી સબસિડીયુક્ત પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં આવશે તો ગુજરાતના ખેડૂતો કેવી રીતે ટકી શકશે?” એમ તેમણે પ્રશ્ન કર્યો. પશુપાલન ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું કે, હાલ દુધના ભાવમાં અસ્થિરતા છે અને નકલી દુધના કેસો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદેશી ડેરી પ્રોડક્ટ્સને છૂટછાટ આપવામાં આવશે તો સ્થાનિક પશુપાલકો વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. “જો ગુજરાતમાં AAPની સરકાર હોત તો હાલના ભાવ કરતાં ₹15 પ્રતિ લીટર વધારે ભાવ પશુપાલકોને મળતા,” એવો દાવો પણ તેમણે કર્યો. ‘ખેડૂત વિરોધી નિર્ણય’નો આક્ષેપઇસુદાન ગઢવીએ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ખેડૂત વિરોધી નિર્ણય લેવાનો આક્ષેપ કર્યો. “ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારો બરબાદ થઈ જાય એવા સોદા કરવા માટે પ્રધાનમંત્રી બનાવ્યા નથી,” એમ કહી તેમણે સરકારને સ્પષ્ટતા કરવા માંગ કરી કે અમેરિકાના કૃષિ ઉત્પાદનોને ભારતમાં કેમ મંજૂરી આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર જેટલો સમય સત્તામાં રહેશે, તેટલો ખેડૂતો અને નાના ઉદ્યોગો પતન તરફ ધકેલાશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારોને મુદ્દા આધારિત રાજનીતિને મત આપવા અપીલ પણ તેમણે કરી. AAPના પ્રતિનિધિમંડળમાં ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, સામત ગઢવી, ડો. જ્વેલ વસરા, ગૌરી દેસાઈ અને ડો. કરન બારોટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
અમદાવાદમાં સોલા રોડ પર ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના વિનય મંદિર શાળામાં આજે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય ‘ફૂડ ફીએસ્ટા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માત્ર ઉત્સાહ જ નહીં, પણ પોતાની રાંધણકળાનું કૌશલ્ય પણ પ્રદર્શિત કર્યું હતું. વાનગીઓનો ખજાનો અને ગેમ ઝોન વિદ્યાર્થીઓએ સેવ ખમણી, પાસ્તા, પાણીપુરી, ખીચું, વડાપાઉં, ભાજીપાવ, ભુગળા બટેકા અને વિવિધ પ્રકારની ચાટ જેવી વાનગીઓ જાતે તૈયાર કરી હતી. આ ઉપરાંત પેસ્ટ્રી, કેક, કોલ્ડ કોફી અને ફ્રુટ ડીશ જેવા કુલ 20 થી વધુ આઈટમોના સ્ટોલ લગાવી વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓને પીરસ્યા હતા. ખાણી-પીણીની સાથે મનોરંજન માટે ખાસ ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વ્યવસાયિક શિક્ષણની અનોખી પહેલ આ આયોજન પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યના શેફ, હોટલ મેનેજમેન્ટ અને રેસ્ટોરન્ટ સંચાલન જેવી વ્યવસાયિક ક્ષમતાઓની તાલીમ આપવાનો હતો. નાના ભૂલકાઓથી લઈને મોટા વિદ્યાર્થીઓએ આર્થિક વ્યવહારો અને ટીમ વર્કનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામની સીમમાં આવેલી શરત ભંગ થયેલી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનને પચાવી પાડવા માટે કાયદાકીય ગૂંચ ઊભી કરી અમદાવાદના જમીન દલાલ સાથે મેળાપીપણું કરી ઠગાઈ આચરવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા જીગરકુમાર રામભાઈ પટેલે આ ફરિયાદ નોંધાવી છે. અગાઉ શરત ભંગ થવાને કારણે સરકારી જમીન બની હતીફરિયાદ મુજબ દંતાલી ગામના સર્વે નંબર 231માં આવેલી આશરે 8600 ચોરસ મીટર જમીન અગાઉ શરત ભંગ થવાને કારણે સરકારી જમીન બની હતી. આ જમીન નિયમિત કરાવવા માટે મૂળ ખેડૂતોએ વર્ષ 2016માં જયંતિભાઈ અંબાલાલ પટેલ (રહે. કલોલ) અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ (રહે. ભાદોલ, તા. કલોલ)ને પાવર ઓફ એટર્ની આપી હતી, પરંતુ તેઓએ કોઈ કામગીરી કરી ન હતી. જાન્યુઆરી-2022માં કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી જમીનનો કબજો મેળવ્યો ત્યારબાદ વર્ષ 2019માં ખેડૂતોએ જીગરકુમાર પટેલનો સંપર્ક કરતા તેમણે કલેક્ટર કચેરીમાં જરૂરી કાર્યવાહી કરી જમીન નિયમિત કરાવી હતી અને ખેડૂતોને નક્કી કરેલ 1.55 કરોડ રૂપિયાનો અવેજ ચૂકવી જાન્યુઆરી, 2022માં કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી જમીનનો કબજો મેળવ્યો હતો. ફેબ્રુઆરી 2022માં એકબીજાના નામે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો જોકે, આ જમીન કિંમતી બની ગઈ હોવાનું જાણી આરોપીઓએ મેળાપીપણું કરી વર્ષ 2020માં જૂના પાવરના આધારે ખેડૂતોની જાણ બહાર 88.15 લાખની કિંમતનું એક કબ્જા વગરનું બાનાખત ઊભું કર્યું હતું. ત્યારબાદ જીગરે જમીન ખરીદી લીધી હોવાનું જાણતા હોવા છતાં આરોપીઓએ ફેબ્રુઆરી 2022માં તે જ પાવરના આધારે એકબીજાના નામે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આ બાબતે પોલીસે જયંતિભાઈ અંબાલાલ પટેલ અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના રાજ્યમાં શરત ભંગની જમીનોના દુરુપયોગ અને જમીન દલાલીના વધતા કેસો તરફ ધ્યાન દોરી રહી છે. પોલીસે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, દસ્તાવેજો અને જમીનના રેકોર્ડની તપાસ શરૂ કરી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard)ની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક 'સ્વર્ણિમ વર્ષ' નિમિત્તે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા 'ડે એટ સી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના અત્યાધુનિક યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટે પોતાની તાકાત અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું, જેના સાક્ષી 2000થી વધુ લોકો બન્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડના ૭ જેટલા જહાજોનો કાફલો એકસાથે જોવા મળ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને કોસ્ટગાર્ડની કામગીરીથી પરિચિત કરવાનો હતો. આ માટે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો સહિત 2000થી વધુ લોકોને વિશેષ વ્યવસ્થા સાથે મધદરીયે લઈ જવામાં આવ્યા હતા. દરિયાઈ સીમાઓની સુરક્ષા કરતી વખતે કોસ્ટગાર્ડના જવાનો કેવી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે, તેનું જીવંત નિદર્શન અહીં કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમાં રેસ્ક્યુ ઓપરેશન અને ફાયરિંગની દિલધડક કવાયતનો સમાવેશ થતો હતો. કોસ્ટગાર્ડની સ્પીડ બોટની મદદથી દરિયામાં ફસાયેલા માછીમારોને કઈ રીતે બચાવવામાં આવે છે, તેનું જીવંત નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત, દરિયાઈ માર્ગે આવતા દુશ્મનો કે ઘૂસણખોરોને કઈ રીતે જડબાતોડ જવાબ આપી શકાય, તે માટે જહાજો પરથી ફાયરિંગની કવાયત પણ દર્શાવવામાં આવી હતી. કોસ્ટગાર્ડની આ અત્યાધુનિક કવાયત અને રેસ્ક્યુ ઓપરેશન નિહાળીને મધદરીયે ગયેલા શહેરીજનો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સૌને ભારતીય તટરક્ષક દળ માત્ર સરહદોની સુરક્ષા જ નહીં, પરંતુ માછીમારોના જીવ બચાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેની પ્રતીતિ થઈ હતી.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા તાજેતરમાં 'RCMC 2024' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દીપક નાઈટ્રેટના CFO સંજય ઉપાધ્યાય ખાસ હાજર રહ્યા હતા. ICMAI - WIRCના ચેરમેન મિહિર વ્યાસે જણાવ્યું હતું કે આ સંકલિત પ્રયાસનો હેતુ વ્યવસાયિક સભ્યોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો છે. AI અને ભાવિ પડકારો પર વિશેષ મંથન સંમેલનમાં કુલ 3 મહત્વપૂર્ણ સેશન રાખવામાં આવ્યા હતા, જેમાં Environment, Social, and Governance (ESG), Artificial Intelligence (AI) અને નેક્સ્ટ જનરેશન લીડર જેવા વિષયો પર ગહન ચર્ચા થઈ હતી. અદાણી, રિલાયન્સ, GSCL અને GNFC જેવી દિગ્ગજ કંપનીઓના CFO અને ઉચ્ચ અધિકારીઓએ આ સેશન્સમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું કે AI ના કારણે નોકરીઓ ઓછી થવાની શક્યતા નહિવત છે, પરંતુ જે લોકો AI માં માસ્ટરી મેળવશે તેમની આવક અને પ્રગતિમાં ચોક્કસ વધારો થશે. કોસ્ટ એકાઉન્ટિંગમાં ટેકનોલોજીનો ઉપયોગ સંસ્થાના સભ્યો દ્વારા કોસ્ટિંગ, પ્રાઈસિંગ ડેવલપમેન્ટ અને ઓડિટની પ્રક્રિયામાં AI નો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાર્લામેન્ટના એક્ટ દ્વારા સ્થાપિત આ સરકારી સંસ્થાના સભ્યો 35 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓમાં કોસ્ટ ઓડિટ, GST ઓડિટ અને ઇન્ટરનલ ઓડિટ જેવી જવાબદારીઓ સંભાળે છે. જે સભ્યો સમય સાથે બદલાશે અને AI ની ટ્રેનિંગ લેશે, તેમના માટે પ્રોફેશનલ ક્ષેત્રે નવી અને ઉજ્જવળ તકો ઉભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પાડોશી જ ચોર હોવાનું શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂ. 12,34,650 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા સોનાસણના ભુરીવાસમાં રહેતા દર્શનાબેન સુનીલભાઈ પટેલના બંધ મકાનમાંથી અજાણ્યા ઇસમે ઘરની ચાવીનો ઉપયોગ કરીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રૂ. 14,75,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. સાબરકાંઠા LCBએ આ ગુનાની તપાસ શરૂ કરી હતી. LCBના ઇન્ચાર્જ PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, PSI આર.કે. જોષી અને એસ.જે. ચાવડાની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, સોનાસણના ભુરીવાસમાં રહેતા 30 વર્ષીય રાજ ભૂપેન્દ્ર ઈશ્વરભાઈ પટેલની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. રાજે ચોરીની કબૂલાત કરતા જણાવ્યું કે, 10 ફેબ્રુઆરી 2026 ના રોજ તેમના સગા-સંબંધીઓના સમૂહ લગ્ન હોવાથી ઘરના તમામ સભ્યો બહાર ગયા હતા. તે સમયે તેણે પાડોશી સુનીલભાઈના ઘરે કોઈ હાજર ન હોવાથી ચાવી વડે તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી દાગીના ચોરી લીધા હતા. ચોરી કર્યા બાદ રાજ ફરી સમૂહ લગ્નમાં જતો રહ્યો હતો અને સાંજે તેણે ચોરી કરેલા દાગીના તેના ફોઈના દીકરા પ્રતિકકુમાર દિલીપભાઈ પટેલને સાચવવા આપ્યા હતા. LCBએ રાજ પટેલની ધરપકડ કરીને તેની પાસેથી કુલ રૂ. 12,34,650નો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં સોનાના દોરા, મંગળસૂત્ર, વીંટીઓ, બુટ્ટીઓ, ડોકિયું, મગમાળા અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. વધુ તપાસ માટે આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાવાનું છે. તે પહેલા જ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલઆઉન્ડર ઈરફાન પઠાણે ચૂંટણી મેદાનમાં યોર્કર ફેંકી જંગને રસપ્રદ બનાવી દીધો છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પૂર્વ વિકેટ કિપર કિરણ મોરે અને દર્શન બેંકરના ગ્રુપ વચ્ચે ટક્કર થઈ રહી છે. ત્યારે ઈરફાન પઠાણે કિરણ મોરે અને તેના ગ્રુપ સામે સવાલો ઉઠાવ્યા હતા. બરોડા ક્રિકેટનું સ્તર નીચું જઈ રહ્યું હોવાની વાત કરી ઈરફાન પઠાણે કહ્યું કે, બરોડા ક્રિકેટના કોચ અફઘાનિસ્તન જઈ કોચિંગ કરી રહ્યા છે પણ અહીં તેમને રિસ્પેક્ટ મળતી નથી. બરોડા ક્રિકેટમાં હામાં હા કરનારાઓને જ જોબ મળે છે. ઈરફાન પઠાણનો આ વીડિયો રોયલ સત્યમેવ જયતેના ગ્રુપમાં શેર કરાતા ક્રિકેટ પોલિટિક્સમાં ગરમાવો આવ્યો છે. બરોડાના ક્રિકેટના નીચે જઈ રહેલા સ્તરને લઈ ચિંતા વ્યકત કરીઈરફાન પઠાણે જણાવ્યું હતું કે. હાલમાં બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્તર હાલમાં નીચે જઈ રહ્યું છે. બરોડા ક્રિકેટનો ઇતિહાસ ખૂબ જ મોટો અને ગૌરવપૂર્ણ છે. અહીંથી ઘણા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ કમાયું છે. તેઓ પોતે પણ બરોડા ક્રિકેટના કારણે જ તેઓને માન-સન્માન મળ્યા છે. તેમણે કહ્યું કે જો BCA ન હોત તો તેઓ પણ આજે જે સ્થાને છે તે સ્થાને ન હોત. સિલેક્ટરની પસંદગીને લઈ ઈરફાને સવાલ ઉઠાવ્યોવધુમાં કહ્યું કે, CIC કમિટીના સભ્ય તરીકે તેમણે કોઈ આર્થિક અપેક્ષા વિના સેવા આપી હતી. કલાકો સુધી કોચના ઇન્ટરવ્યુ લીધા અને ઈમેલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું કારણ કે તેઓ ઈચ્છતા હતા કે બરોડા ક્રિકેટ વધુ સારું બને. આવનારા સમયમાં ક્રિકેટનું સ્તર સુધરે તે માટે સારા સભ્યો અને હોદ્દેદારોની જરૂર છે. હાલમાં ટીમ ક્વોલિફાય પણ નથી કરી શકતી અને ખેલાડીઓ આગળ વધી રહ્યા નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે જે ખેલાડી માત્ર 6-7 રણજી મેચ રમ્યો હોય અને તે ચેરમેન બને તો તે કોઈના પ્રભાવ હેઠળ કામ કરી શકે છે. પરંતુ વધુ અનુભવી ખેલાડી સિલેક્ટર બને તો તે સ્વતંત્ર રીતે વિચારી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી BCAમાં આવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે દુઃખદ છે. બરોડાના કોચ અફઘાનિસ્તમાં કોચિંગ આપે છે પણ અહીં સન્માન મળતું નથી- ઈરફાન પઠાણવધુમાં કહ્યું કે, વર્ષ 2018-19માં જમ્મુ-કાશ્મીર ક્રિકેટ માટે કરેલા કામનો ઉલ્લેખ કર્યો હતો. જેના પરિણામે આજે તેમના ખેલાડીઓ સેમીફાઈનલ રમે છે, IPLમાં પસંદ થાય છે અને સારું પ્રદર્શન કરે છે. તેઓ બરોડામાં પણ આવું જ કરવા માંગતા હતા. વડોદરાના ઘણા કોચ અફઘાનિસ્તાન જેવી ટીમો સાથે કામ કરે છે, પરંતુ અહીં તેમને પૂરતું સન્માન મળતું નથી. અહીં એવું વાતાવરણ છે કે ભલે 100 ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યા હોય, પણ 'હા માં હા' કહેવા વાળાને જ નોકરી મળે છે. આ સ્થિતિ બદલવાની જરૂર છે અને તેની જવાબદારી મતદારો તથા સભ્યોની છે. મતદારોને રવિવારે યોજાનારી ચૂંટણીમાં સૂઝબૂઝથી મતદાન કરવા અપીલઅંતમાં તેમણે કહ્યું કે બરોડા ક્રિકેટ તેમના હૃદયની ખૂબ નજીક છે અને તેઓ ઈચ્છે છે કે તે પ્રગતિ કરે. આગામી ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીમાં મતદારોએ ખૂબ જ સમજદારી અને સૂઝબૂઝથી મતદાન કરવું જોઈએ, કારણ કે તેમના પર મોટી જવાબદારી છે. BCAના ચૂંટણી જંગમાં રિવાઈવલ ગ્રુપ વર્સિસ RSJMનો જંગવડોદરામાં આવતીકાલે BCAની ચૂંટણી આવતી કાલે યોજવા જઈ રહી છે, ત્યારે રિવાઇલગ્રુપ સામે હાલમાં રોયલ અને સત્યની ગ્રુપ એકસાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. રિવાઇવલ અને રોયલ ગ્રુપ અગાઉ એકસાથે ભેગા થઈ ચૂંટણી લડ્યા હતા પરંતુ આ વખતે નવો પક્ષ આવતા સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કર અને રોયલ ગ્રુપ માં મહારાજા સત્યજીતસિંહ ગાયકવાડ મળી હવે તેઓ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને હાલના બીસીએ પ્રમુખ પ્રણવ અમીન સામે લડી રહ્યા છે. ત્યારે આ મામલે ઈરફાેન પઠાણે નિવેદન આપતા ચૂંટણી પૂર્વે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સમાચાર પણ વાંચોઃBCAની ચૂંટણી પહેલા બંને જૂથ વચ્ચે આક્ષેપબાજીઆગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીને લઈને સૌ કોઈની નજર તેના પર જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થશે. વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગ્રૂપ સામે ચૂંટણી લડી રહ્યા છે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે બંને ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આક્ષેપબાજી કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
મોડાસા તાલુકાની પીએમ શ્રી સાકરીયા પ્રાથમિક શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના કેળવવાનો હતો, ખાસ કરીને આધુનિક યુગમાં મોબાઇલના વધતા પ્રભાવ વચ્ચે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને કંકુ તિલક કરી વંદન કર્યા અને ચરણસ્પર્શ દ્વારા આદર વ્યક્ત કર્યો. આ ભાવુક ક્ષણોએ ઘણા વાલીઓની આંખોમાં ગર્વ અને આનંદના આંસુ લાવી દીધા હતા. વિદ્યાર્થીઓએ માતા-પિતાને સમર્પિત ગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું. ઉપસ્થિત સૌએ આ પ્રદર્શનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા માતા-પિતા અને સંતાન વચ્ચેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બન્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને મોબાઇલના અતિશય ઉપયોગથી દૂર રહી અભ્યાસ, રમતગમત અને પરિવાર સાથે સમય વિતાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. શાળા શિક્ષણની સાથે સંસ્કારના મૂલ્યોનું સિંચન કરવા સતત પ્રયત્નશીલ છે તે આ કાર્યક્રમથી સ્પષ્ટ થયું. કાર્યક્રમના સમાપ્તિએ વાલીઓએ શાળાના આચાર્ય મિનેશ પંચાલ અને સમગ્ર શિક્ષકગણની પ્રશંસા કરી હતી. તેમણે આવી મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ યોજવા બદલ શાળાનો આભાર માન્યો હતો. મોડાસાની પીએમ શ્રી સાકરીયા પ્રાથમિક શાળાનો આ કાર્યક્રમ સંસ્કાર, સંવેદના અને પારિવારિક મૂલ્યોને પ્રોત્સાહન આપતો એક મહત્વપૂર્ણ સંદેશ બની રહ્યો.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખા દ્વારા સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે વેલેન્ટાઈન ડેની ઉજવણી એક અત્યંત અનોખી અને માનવીય રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દિવસ સામાન્ય રીતે અંગત પ્રેમની અભિવ્યક્તિનો હોય છે, પરંતુ રેડ ક્રોસ દ્વારા તેને સામાજિક જવાબદારી સાથે જોડીને શહેરીજનોને એક નવી રાહ ચીંધવામાં આવી છે. થેલેસીમિયા પીડિત બાળકો માટે વિશેષ ભેટ રેડ ક્રોસ દ્વારા અમદાવાદના શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ વેલેન્ટાઈન ડેના પવિત્ર દિવસે રક્તદાન કરે, જેથી તેમનું રક્ત થેલેસીમિયા મેજરની ગંભીર બીમારીથી પીડાતા બાળકોને ગિફ્ટ તરીકે મળી શકે. સામાન્ય રીતે આ દિવસે લોકો પોતાના પ્રિય પાત્રોને રોઝ, ચોકલેટ કે રિંગ જેવી મોંઘી ભેટ આપતા હોય છે, પરંતુ તેના બદલે રક્તનું દાન કરીને કોઈનું જીવન બચાવવાની આ પહેલને લોકોએ દિલથી સ્વીકારી છે.અમદાવાદની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ રેડ ક્રોસ અમદાવાદના આ અનોખા પ્રયાસને શહેરની જનતાએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અત્યાર સુધીમાં 100 થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક આગળ આવીને રક્તદાન કરવાની તૈયારી બતાવી છે. આ રક્તદાતાઓએ થેલેસીમિયા પીડિત બાળકોને બ્લડ યુનિટ વેલેન્ટાઈન ડેની ગિફ્ટ તરીકે આપવાની સુંદર શરૂઆત કરી છે. રક્તદાતાઓનો આભાર અને સન્માન રેડ ક્રોસ અમદાવાદ દ્વારા આ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના અંગત સુખને બાજુ પર રાખીને આ માનવીય અભિયાનમાં જોડાવા બદલ અને થેલેસીમિયાગ્રસ્ત બાળકોના જીવનમાં નવી આશા જગાડવા બદલ સંસ્થાએ રક્તદાતાઓની આ અનોખી ભેટની સરાહના કરી છે.
લિંબાયત વિસ્તારમાં સતત વધી રહેલી મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમે બાતમીદારોની મદદથી ઘરફોડના બે મહત્વના ગુનાઓ ઉકેલી નાખ્યા છે. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના એક રીઢા તસ્કરને કુલ રૂપિયા 10,07,000ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો. શું છે સમગ્ર ઘટના?લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓને શોધવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પી.આઈ. એન.કે. કામળીયા અને સેકન્ડ પી.આઈ. સી.એસ. ઘોકડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો. પોલીસ ટીમે શહેરના વિવિધ વિસ્તારોના 50થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. આ તપાસમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લિંબાયતના શાહપુરા સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા માવીયા ઉર્ફે મુસ્તાક શાહ (ઉં.વ. 29) ને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છેDCP કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં સોના ચાંદી અને અન્ય વસ્તુ આશરે 10 લાખ જેટલી મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી ઘર બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયો હોય ત્યારે આરોપીએ રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસની ટીમ તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અગાઉ પણ ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છે. ઝડપાયેલો આરોપી માવીયા મૂળ મહારાષ્ટ્રના જલગાંવ (ધુલિયા) જિલ્લાના ઈસ્લામપુરાનો રહેવાસી છે અને હાલ લિંબાયતમાં રહેતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ લિંબાયત પોલીસ મથકમાં તેમજ વલસાડના વાપી રેલ્વે પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કરોડોના દાગીના અને મુદ્દામાલ જપ્તપોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે જેમાં સોનાના દાગીના 165.25 ગ્રામ કિંમત આશરે 9,94,000 જેમાં 24 કેરેટ સોનાના બિસ્કિટ, સોનાની વીંટી, હાર, નથણી, બુટ્ટી અને ટીકાનો સમાવેશ થાય છે. આ સાથે 126.00 ગ્રામ ચાંદીના ઝાંઝર અને OPPO કંપનીનો સ્માર્ટફોન રિકવર કરવામાં આવ્યા છે.
અમદાવાદ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટના 8 ટ્રસ્ટીઓ અને મહેતા, વોરા તથા શાહ પરિવારના પ્રતિનિધિઓએ ટ્રસ્ટ પર લાગેલા આરોપોનો સચોટ જવાબ આપ્યો હતો. ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, અંકિત શ્રેણિકભાઈ મહેતા (જેઓ પાસા હેઠળ 19 માસની સજા ભોગવી ચૂક્યા છે) અને જયેશભાઈ મહેતાને તેમના ગુનાહિત ઇતિહાસને કારણે ગત વર્ષે જ સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓ હવે ખોટી ઓળખ આપી ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સોનાની ચોરીના આરોપો પાયાવિહોણા ટ્રસ્ટ પર લગાવવામાં આવેલા 65 કિલો સોનાની હેરાફેરીના આરોપને ફગાવતા ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, મંદિરના સુવર્ણીકરણ માટે ખરીદાયેલા સોનાના કાયદેસરના ટેક્સપેઇડ બિલો ઉપલબ્ધ છે. વર્ષ 2017 થી 2025 સુધીના ઓડિટેડ રિપોર્ટમાં આ તમામ વિગતો નોંધાયેલી છે. લેબોરેટરી ટેસ્ટિંગ અંગે સ્પષ્ટતા કરી કે લેબ રિપોર્ટ સોનાની શુદ્ધતા નક્કી કરે છે, વજન નહીં. વધુમાં, લોકર ખોલવા માટે ત્રણ અલગ-અલગ ટ્રસ્ટીઓની ચાવીઓ અનિવાર્ય હોવાથી કોઈ એક વ્યક્તિ દ્વારા દાગીનાની ચોરી શક્ય જ નથી. ભૂતકાળની ગેરરીતિઓનો ઘટસ્ફોટ પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે વર્ષ 2012માં પૂર્વ ટ્રસ્ટી રશ્મિભાઈ મહેતા કમિશન લેતા પકડાતા તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, તેમના સંબંધી સુનિલભાઈ મહેતાએ વેરભાવમાં 65 કિલો સોનાની ચોરીની ખોટી અરજી માણસા પોલીસમાં કરી હતી, જે તપાસ બાદ રદ થઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2023માં નિલેશ મહેતા અને સુનિલ મહેતા (અંકિત અને જયેશ મહેતાના કુટુંબીઓ) મંદિરના ભંડારમાંથી ચોરી કરતા CCTVમાં કેદ થયા હતા, જેમને તાત્કાલિક અસરથી દૂર કરાયા હતા. આ કાર્યવાહીનો બદલો લેવા જ હાલમાં પાયાવિહોણા આરોપો થઈ રહ્યા છે. ટ્રસ્ટીઓની નિયુક્તિ અને મિલકતો અંગે ખુલાસો હાલના ટ્રસ્ટીઓની નિમણૂક ગેરકાયદે હોવાના દાવા સામે વર્ષ 2002 થી 2020 સુધીના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા, જેમાં ખુદ અંકિત અને જયેશ મહેતાની સમર્થનરૂપ સહીઓ છે. અમદાવાદમાં ખરીદાયેલી પ્રોપર્ટી અંગે ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કર્યું કે, આ મિલકતો જૈન સાધુ-સાધ્વીજીઓના વિહાર અને આરામ માટે ટ્રસ્ટના નામે જ ખરીદાઈ છે. તેનો ઉપયોગ કોઈ ટ્રસ્ટીના અંગત ફાયદા માટે થતો નથી. ટ્રસ્ટનો જાહેર પડકાર અંતમાં, ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ વિશ્વાસ અપાવ્યો કે ટ્રસ્ટ પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ છે. તેમણે જાહેર પડકાર ફેંક્યો કે જો ટ્રસ્ટ દ્વારા 1 ગ્રામ સોનાની પણ ઉચાપત સાબિત થશે, તો તમામ ટ્રસ્ટીઓ સ્વેચ્છાએ રાજીનામું આપી દેશે. મહુડી તીર્થ અને ઘંટકર્ણ મહાવીર પ્રભુ પ્રત્યેની ભક્તોની શ્રદ્ધા અડગ રહે તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે.

30 C