SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

એક જ દિવસમાં 33 લોકોનો શિકાર!:અમરેલીમાં 'ડોગ ટેરર', લોકો ઘરમાં રહેવા મજબૂર; શાક લેવા ગયેલા વ્યક્તિથી લઈ દુકાને બેઠેલા શખસ સુધી બધાને ફાડી ખાધા

અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આંતક મચાવ્યો છે. સોમવારે એક જ દિવસમાં 33 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. શાક લેવા ગયેલા વ્યક્તિથી લઈ દુકાને બેઠેલા શખસ સુધી બધાને ફાડી ખાધા હતા. શ્વાનના કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. જેના કારણે સ્થાનિકોમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે. શાકમાર્કેટ માણેકપરા સહિતના વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસપ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી શહેરમાં શાકમાર્કેટ, ચાંદની ચોક અને માણેકપરા સહિતના વ્યસ્ત વિસ્તારોમાં આશરે 30 જેટલા લોકોને શ્વાન કરડ્યા હતા. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના વાંકિયા ગામમાં એક વ્યક્તિ, બરવાળા બાવીસી વિસ્તારમાં એક વ્યક્તિ અને ધારી તાલુકામાં એક વ્યક્તિને પણ શ્વાન કરડવાની ઘટના બની હતી. હાથ-પગ સહિતમાં શ્વાને બચકાં ભરી લીધા આ તમામ વિસ્તારમાં શ્વાને આંતક મચાવ્યો હતો. લોકોને હાથ-પગ સહિતના શરીરના અંગોમાં શ્વાને બચકાં ભરી લીધા હતા. લોકો હાલ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યા હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારોહોસ્પિટલના રેબીસ વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યાં વિવિધ વિસ્તારોમાંથી લોકો રેબીસના ઇન્જેક્શન અને અન્ય સારવાર માટે આવ્યા હતા. આદમભાઈ સોલંકી, જેઓ અમરેલીના બહારપરા વિસ્તારના રહેવાસી છે, તેમણે જણાવ્યું કે, તેમના વિસ્તારમાં 25 થી 30 લોકોને શ્વાન કરડ્યા છે, મારા પિતાને પણ શ્વાને બચકુ ભરી લીધું છે. મારા પિતા દુકાને બેઠા હતા ત્યારે જ અચાનક શ્વાન આવીને બચકું ભરીને જતું રહ્યું હતું. ત્યારે અમારી નગરપાલિકાને રજૂઆત છે કે, જેમ બને તેમ આ શ્વાનોને પકડીને અન્યત્ર ખસેડવા. જેથી વધુ લોકોને કરડતા અટકી શકે. ગજેરાપરા વિસ્તારના દિલીપભાઈએ જણાવ્યું કે, હું ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયો હતો. ત્યારે અચાનક કૂતરૂ કરડી ગયું હતું. તેમણે ઉમેર્યું કે, હાલમાં ઘણા લોકો શ્વાન કરડવાના કારણે સારવાર માટે આવી રહ્યા છે હું પણ સારવાર માટે આવ્યો છું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:05 am

ગાંધીનગરના યુવાન સાથે લગ્નના નામે 11 લાખની છેતરપિંડી:મહીસાગર પોલીસે લગ્નની ખોટી વિધિ કરાવી પૈસા પડાવનાર મહિલા સહિત ત્રણને ઝડપ્યા

મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ મથકે એક યુવાન સાથે લગ્નના નામે રૂ. 11 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના યુવાનને લગ્નની લાલચ આપી ખોટી વિધિ કરાવી ઘરેણાં અને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી પોલીસે ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે. DYSP કમલેશ વસાવાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગરના વતની ભોગ બનનાર યુવાન લગ્ન માટે છોકરી શોધી રહ્યા હતા. તેમના પિતા મારફતે ધનસુરાના જયરાજસિંહ ચૌહાણ નામના ઈસમ સાથે તેમનો સંપર્ક થયો હતો. જયરાજસિંહે ખાનપુર તાલુકામાં પોતાના સંપર્ક હોવાનું જણાવી છોકરી શોધી આપવાની વાત કરી હતી. આશરે દસ દિવસ પહેલા ભોગ બનનાર યુવાન ખાનપુરના કુભાયડી ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમનો સંપર્ક કનુભાઈ કાળુભાઈ ડામોર અને તેમના પત્ની શારદાબેન કનુભાઈ ડામોર સાથે થયો. આ દંપતીએ તેમને જ્યોતિ નામની એક છોકરી બતાવી હતી, જેની સાથે તેનો કાકાનો છોકરો રાકેશભાઈ પણ હાજર હતો. લગ્ન માટે વાતચીત ફાઇનલ થયા બાદ બે દિવસ પહેલા ભોગ બનનાર યુવાન પોતાના પરિવાર સાથે કુભાયડી ગામે આવ્યા હતા. ત્યાં આરોપીઓએ ખોટી લગ્ન વિધિ કરાવી રૂ. 6 લાખના ઘરેણાં અને રૂ. 5 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ રાત્રિના સમયે મંદિરમાં દર્શન કરવાના બહાને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ તાત્કાલિક બાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કનુભાઈ કાળુભાઈ ડામોર અને તેમના પત્ની શારદાબેન ડામોરે પોતાની દીકરીના દસ્તાવેજો આપ્યા હતા. જોકે, પોલીસે જ્યારે ફરિયાદીને તેમની દીકરી બતાવી ત્યારે ફરિયાદીએ તે જ્યોતિ ન હોવાનું જણાવ્યું હતું, જેની સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે કે ફરિયાદીના લગ્ન કઈ છોકરી સાથે કરાવવામાં આવ્યા હતા. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ અગાઉ આવી કોઈ છેતરપિંડીની ઘટનાઓમાં સામેલ હતા કે કેમ અને તેમણે આવા કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમની સાથે પણ આવી કોઈ ઘટના બની હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આ કેસમાં કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી ત્રણની ધરપકડ થઈ ચૂકી છે અને અન્ય ફરાર છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:03 am

હળવદમાં મહિલા પર હુમલો:કોમન પ્લોટના વિવાદમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના ચરાડવા ગામે કોમન પ્લોટમાંથી બાવળ કાઢવા બાબતે થયેલા વિવાદમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલાને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચરાડવા ગામની ગોપાલનગર સોસાયટીમાં રહેતા વનિતાબેન જયંતિભાઈ ચાવડા (ઉં.વ. 46)એ આ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વસંતબેન રમેશભાઈ સોનાગ્રા, તુષારભાઈ રમેશભાઈ સોનાગ્રા, રમેશભાઈ હરજીભાઈ સોનાગ્રા અને દિનેશભાઈ હરજીભાઈ સોનાગ્રાના નામનો ઉલ્લેખ છે. વનિતાબેને જણાવ્યું કે, તેમના ઘર પાસેના કોમન પ્લોટમાંથી બાવળ કાઢવા બાબતે વસંતબેન સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વસંતબેને તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તુષારભાઈએ તેમને ધક્કો મારી નીચે પાડી દેતા જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી. રમેશભાઈ અને દિનેશભાઈએ સ્થળ પર આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત મહિલાએ સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા, હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. બીજી એક ઘટનામાં, મોરબી તાલુકા પોલીસે ભડીયાદ ગામ પાસેથી એક શખ્સને દેશી બનાવટની જામગીરી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ભડીયાદ ગામની સીમમાં નદીના વોંકળા પાસે બાવળની કાંટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં હાજર પ્રકાશભાઈ રામજીભાઈ વનેશિયા (ઉં.વ. 35, રહે. ભડીયાદ, મૂળ જૂના નાગડાવાસ) પાસેથી રૂ. 1500ની કિંમતની દેશી બનાવટની જામગીરી બંદૂક મળી આવી હતી. પોલીસે આરોપી પ્રકાશભાઈ વનેશિયાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:55 pm

વેરાવળમાં LCBએ 5.85 લાખનો દારૂ ઝડપ્યો:કાર અને બંધ મકાનમાંથી જથ્થો મળ્યો, કુખ્યાત બુટલેગરની સંડોવણી

વેરાવળ શહેરમાં એલસીબીએ બે સ્થળોએ દરોડા પાડી રૂ. 5.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગરનો હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એલસીબીને વેરાવળના પોષ બજરંગ સોસાયટી વિસ્તારમાં દારૂનું કટિંગ થવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબી પીઆઈ એસ.વી. રાજપુત, પીએસઆઈ સિંધવ, એચ.એલ. જેબલીયા અને સ્ટાફે બજરંગ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી કાળા કલરની વર્ના કાર (નં. GJ 01 RK 1893) રેઢી મળી આવી હતી. કારની તલાશી લેતા રૂ. 2,57,550ની કિંમતની 1071 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર, મોબાઈલ અને રૂ. 41,000 રોકડા સહિત કુલ રૂ. 4.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, એલસીબીએ મોટા કોળીવાડાની બારીયા શેરીમાં મહાકાલી માતાજીના મઢ પાસેના એક બંધ મકાનમાં પણ દરોડો પાડ્યો હતો. આ મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની 217 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 3,28,765 આંકવામાં આવી છે. આમ, બંને દરોડામાં કુલ રૂ. 5.85 લાખનો દારૂનો જથ્થો અને રૂ. 1.52 લાખનો અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને સ્થળોએથી મળી આવેલો દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો રમેશ બારીયાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે રેમ્બો અને તેના સાગરીતો અજય ઉર્ફે બાદલ મનુ બારીયા તથા પિયુષ અરજણ બારીયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો લાંબા સમયથી શહેરમાં દારૂની હેરાફેરી અને વેચાણનું નેટવર્ક ચલાવી રહ્યો છે. તેની સામે પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. છ મહિના પહેલા તેને પાસા હેઠળ ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા જ તે પાસામાંથી છૂટ્યા બાદ ફરી દારૂનો વેપલો શરૂ કર્યો હોવાનું આજના દરોડામાં પર્દાફાશ થયો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:54 pm

સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત:યુ.એન. મહેતા, કેન્સર અને કિડની હૉસ્પિટલના નવા સેન્ટર્સને ‘સરકારી હૉસ્પિટલ’નો દરજ્જો મળ્યો

ગુજરાત સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવી છે. રાજ્ય સરકારે તબીબી સારવારના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરી ત્રણ અગ્રણી સ્પેશિયાલિટી હૉસ્પિટલોના નવા અને ભવિષ્યમાં શરૂ થનારા તમામ સેન્ટર્સને હવે ‘સરકારી હૉસ્પિટલ’ સમકક્ષ માન્યતા આપી છે. આ નિર્ણયથી રાજ્યભરના લાખો પરિવારોને સીધી આર્થિક રાહત મળશે. કયા સેન્ટર્સને મળશે માન્યતા?સરકારના તાજેતરના ઠરાવ મુજબ અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી, એમ.પી. શાહ કેન્સર હૉસ્પિટલ અને IKDRC કિડની હૉસ્પિટલ દ્વારા રાજ્યમાં જ્યાં પણ નવા સેન્ટર્સ શરૂ થશે, તે તમામ હવે સરકારી હૉસ્પિટલ ગણાશે. કર્મચારીઓને શું ફાયદો મળશે?અત્યાર સુધી આ ત્રણેય સંસ્થાઓના માત્ર મુખ્ય હૉસ્પિટલને જ સરકારી દરજ્જો મળેલો હતો. હવે તેમના સેન્ટર્સમાં લેવાયેલી સારવારના ખર્ચ માટે કોઈ નાણાકીય મર્યાદા નહીં રહે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના સારવાર બિલ સીધા મંજૂર થઈ શકશે. આ સુધારા બાદ બિલની ચુકવણી માટે ઉપાડ અને વહેંચણી અધિકારી (DDO) તથા તિજોરી અધિકારીને સીધી સત્તા અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:46 pm

જામનગરમાં શિક્ષિકા આત્મહત્યા કેસમાં 3 આરોપીને 7 વર્ષની સજા, દંડ:રજાક સાયચા, અફરોજ ચમાડીયા, અખ્તર જમાડીયાને કોર્ટે ફટકારી સજા

જામનગર શહેરમાં શિક્ષિકાના આત્મહત્યા કેસમાં આજે કોર્ટે ત્રણ આરોપીઓને સાત વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકાર્યો છે. એડિશનલ જજ વેમોરાની કોર્ટે અફરોજ તૈયબભાઈ ચમડિયા, રજાક નુરમાંમદ સાયચા અને અખ્તર અનવર ચમડિયાને IPC કલમ 306 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણા) અને 114 હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ કેસ જામનગરના પંચવટી સોસાયટીમાં શિક્ષિકા દ્વારા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરવા સંબંધિત છે. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેના આધારે સિટી બી પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી અંગ્રેજીમાં લખેલી એક પાનાની સુસાઈડ નોટ મળી હતી, જેનો હિન્દી અનુવાદ પણ હતો. શિક્ષિકાએ તેમાં લખ્યું હતું કે સમાજની ગંદી વિચારસરણીને કારણે અફરોજ તૈયબ ચમડિયા, રજાક સાયચા અને અખ્તર ચમડિયા જેવા વ્યક્તિઓ તેમને ખોટી રીતે બદનામ કરી રહ્યા હતા. આ સહન ન થતાં તેમણે આત્મહત્યા કરી અને આ ત્રણ શખ્સોને તેમના મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા હતા. મૃતક નુરઝાહાબેન ઈબાડીમભાઈ હુંદડા પંચવટી સોસાયટીના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ અપરિણીત હતા અને ખાનગી પોદાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. તેમના માતા-પિતા અને નાની બહેન કોરોનામાં મૃત્યુ પામ્યા બાદ તેઓ એકલા રહેતા હતા. તેમણે ગત 17 મે, 2023ના રોજ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. કોર્ટમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ કેસમાં કલમ 306 લાગુ પડતી નથી અને તેના સમર્થનમાં હાઈકોર્ટના 36 ચુકાદા રજૂ કર્યા હતા. જોકે, સરકારી વકીલ ડી. આર. ત્રિવેદીએ દરેક ચુકાદાનો વિગતવાર ખુલાસો કર્યો હતો અને સરકાર પક્ષે નવ ચુકાદા રજૂ કર્યા હતા. સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ કેસમાં જે વ્યક્તિની સુસાઈડ નોટ મળી હતી, તે કોર્ટમાં હોસ્ટેલ જાહેર થઈ હતી, પરંતુ સુસાઈડ નોટની વિગતો અને અન્ય સાક્ષીઓની જુબાની દ્વારા તે સાબિત થઈ હતી. આ પુરાવાઓના આધારે ત્રણેય આરોપીઓને કલમ 306 હેઠળ સાત-સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:18 pm

પશુચોરીના 10 ગુનાનો આરોપી ઝડપાયો:એક વર્ષથી ફરાર નાસીર પઠાણ તલોદના રણાસણ પાસેથી પકડાયો

સાબરકાંઠા LCBએ પશુચોરીના 10 ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને તલોદના રણાસણ પાસેથી પકડવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું હતું કે, ફરાર આરોપીઓને પકડવાની સૂચનાના આધારે PSI કે.યુ. ચૌધરી અને ભાવેશકુમારને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પશુચોરીના ગુનામાં વોન્ટેડ નાસીર ઉર્ફે નાતાલ યુસુફખાન પઠાણ (ઉંમર 32, રહે. કસ્બા, મોડાસા, અરવલ્લી)ને રણાસણ ચોકડી, તલોદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને ડિટેઈન કરીને વધુ કાર્યવાહી માટે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. નાસીર પઠાણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પશુચોરીના કુલ 10 ગુનામાં વોન્ટેડ હતો. તેની સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એક, મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં બે, મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનમાં એક, પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં બે, પાટણ જિલ્લાના પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક, અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશનમાં એક અને આંબલિયારા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:13 pm

મોરબીમાં ચક્કાજામ બાદ 3 બિલ્ડરો સામે ફરિયાદ:4 સોસાયટીના લોકોને સુવિધા ન આપી વિશ્વાસઘાતનો આરોપ

મોરબીના પીપળી ગામ પાસે ચાર સોસાયટીના રહીશો દ્વારા ચક્કાજામ કર્યા બાદ ત્રણ બિલ્ડરો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડરો પર રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન આપવાનો અને મકાન વેચીને પ્લોટના દસ્તાવેજ કરી આપવાનો આરોપ છે. જેતપર રોડ પર આવેલી માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને ગોકુલનગર સોસાયટીના આશરે સાડા ત્રણસો મકાનોના રહીશોએ પીપળી ગામ પાસે જેતપર રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામને કારણે દસ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડરોએ તેમને રોડ, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા મહિલાઓ સહિતના લોકોએ રસ્તો રોક્યો હતો. અગાઉ પણ આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, બિલ્ડરોએ રહીશોને ૧૫-૧૫ લાખ રૂપિયામાં મકાનોનું વેચાણ કર્યું હતું, પરંતુ મકાનના બદલે પ્લીન્થ લેવલના બાંધકામના અથવા તો માત્ર પ્લોટના જ દસ્તાવેજ કરી આપીને છેતરપિંડી કરી છે. આ ઉપરાંત, પૈસા લઈ લીધા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. આ મામલે ત્રીલોકધામ સોસાયટીના વિનોદભાઈ ભલાભાઇ ચાવડા (ઉં.વ. 43)એ પ્રવીણભાઈ ગણેશભાઈ ગામી (રહે. શિવપુર, તા. હળવદ) સામે, ગોકુલધામ સોસાયટીના ભરતભાઈ વિઠ્ઠલભાઈ પરમાર (ઉં.વ. 48)એ હસમુખભાઈ વલમજીભાઇ પટેલ (રહે. ઈશ્વરનગર, તા. હળવદ) સામે અને માનસધામ સોસાયટીના જગદીશભાઈ ઘેલાભાઈ બોસિયા (ઉં.વ. 43)એ બિલ્ડર મનીષભાઈ કેશવજીભાઈ કાલરીયા સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:07 pm

મંત્રી અર્જુન મોઢવાડિયાએ સલાલ સાયન્સ પાર્કની મુલાકાત લીધી:કર્કવૃત સાઇટ પર પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા કરી

ગુજરાતના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેના ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક સાઇટની મુલાકાત લીધી. તેમણે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી. મંત્રીએ કર્કવૃત્ત પસાર થતા ચોક્કસ બિંદુનું નિરીક્ષણ કર્યું અને તેની ભૌગોલિક વિશેષતાઓ વિશે માહિતી મેળવી. તેમણે સૂચન કર્યું કે આ સાયન્સ પાર્કને માત્ર વૈજ્ઞાનિક મહત્વ જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનાવવું જોઈએ. મંત્રીએ આધુનિક અભિગમ પર ભાર મૂક્યો, જેથી લોકો વિજ્ઞાન અને ભૂગોળ વિશે જ્ઞાન મેળવવા ઉત્સુક બને. ગુજકોસ્ટ ના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહુએ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રીને સાયન્સ પાર્કની રૂપરેખા અને તકનીકી પાસાઓ વિશે માહિતગાર કર્યા. મંત્રીએ આશા વ્યક્ત કરી કે આ સાયન્સ પાર્ક કાર્યરત થવાથી સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ વધશે અને સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થશે. આ મુલાકાત અને બેઠક દરમિયાન જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, પ્રાંત અધિકારી આયુષી જૈન, વન વિભાગના ડી.સી.એફ. (DCF) અને એ.સી.એફ. (ACF) સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:05 pm

2030 સુધીમાં 1 લાખથી વધુ રોજગારીનું લક્ષ્ય:GIFT CITY વૈશ્વિક ફાયનાન્સનું નવું હબ બનશે, દાવોસ WEF-2026માં ફાયનાન્સિયલ ગેટ-વે તરીકે મજબૂત પ્રતિનિધિત્વ કર્યું

દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 દરમિયાન GIFT Cityએ વૈશ્વિક ફાઇનાન્સના કેન્દ્ર તરીકે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. GIFT Cityના CEO સંજય કૌલે જણાવ્યું હતું કે, GIFT City ઝડપથી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું ગ્લોબલ હબ બની રહ્યું છે અને 2030 સુધીમાં અહીં 1 લાખથી વધુ રોજગાર સર્જવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. વિદેશી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુંસંજય કૌલના જણાવ્યા મુજબ GIFT Cityમાં બેંકિંગ, ઇન્શ્યોરન્સ, ફિનટેક, કેપિટલ માર્કેટ્સ અને એસેટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક કંપનીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. અનુકૂળ નિયમનકારી માળખું, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આધારિત ઇકોસિસ્ટમના કારણે GIFT City વિદેશી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત અને ભારતની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશેWEF 2026માં GIFT Cityને ભારતના ફાઇનાન્સિયલ ગેટવે તરીકે રજૂ કરવામાં આવ્યું, જ્યાંથી આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવૃત્તિઓને નવી દિશા મળશે. CEOએ ઉમેર્યું હતું કે, આગામી વર્ષોમાં વધુ વૈશ્વિક બેંકો, નાણાકીય સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ GIFT Cityમાં કામગીરી શરૂ કરશે, જેના પરિણામે ગુજરાત અને ભારતની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે. GIFT Cityના વિકાસ સાથે ભારતને વૈશ્વિક ફાઇનાન્સિયલ નકશા પર વધુ મજબૂત સ્થાન મળશે અને યુવાનો માટે રોજગારના નવા અવસર ખુલશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:57 pm

ટેક્સ વસૂલાતનું મેગા ઓપરેશન:લિંબાયત ઝોને 285 દુકાનો સીલ કરી એક જ દિવસમાં 1.52 કરોડ વસૂલ્યા, મિલેનિયમ અને STM સહિતની 8 માર્કેટોમાં તવાઈ

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા મિલકત વેરાની વસૂલાત માટે રવિવારની રજા હોવા છતાં આક્રમક અભિયાન ચલાવવામાં આવ્યું છે. શહેરની શાન ગણાતી મોટી ટેક્સટાઈલ માર્કેટોમાં પાલિકાની ટીમો ત્રાટકતા વેપારી આલમમાં ભારે દોડધામ મચી ગઈ હતી. લાંબા સમયથી ટેક્સ ભરવામાં ઠાગાઠૈયા કરતા એકમો સામે લાલ આંખ કરીને પાલિકાએ એક જ દિવસમાં કરોડોની વસૂલાત કરી પોતાના તેવર બતાવી દીધા છે. 285 દુકાનોને સ્થળ પર જ સીલ મારી દેવામાં આવ્યા હતાપાલિકાની ટીમોએ લિંબાયત વિસ્તારની પ્રતિષ્ઠિત માર્કેટો જેવી કે સુરત ટેક્સટાઈલ માર્કેટ (STM), સિલ્ક સીટી, અનુપમ, અભિષેક, મિલેનિયમ, રાધે, સાગર અને ગણેશ માર્કેટમાં સામૂહિક સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ કડક ઝુંબેશ દરમિયાન કુલ 285 દુકાનોને સ્થળ પર જ સીલ મારી દેવામાં આવ્યા હતા. પાલિકાના આ 'સપાટા'ને જોઈને બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જેના પરિણામે 205 કરદાતાઓએ તાત્કાલિક ધોરણે સ્થળ પર જ રૂ. 51 લાખનો વેરો ચૂકવી દીધો હતો. લિંબાયત ઝોને સમગ્ર દિવસ દરમિયાન કુલ રૂ. 1.52 કરોડની માતબર વસૂલાત કરીને રેકોર્ડ બ્રેક કામગીરી કરી છે. ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ સીલિંગની કાર્યવાહી તેજ કરવામાં આવશેપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં આ ઝુંબેશ માત્ર કોમર્શિયલ માર્કેટો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ સીલિંગની કાર્યવાહી તેજ કરવામાં આવશે. એટલું જ નહીં, રહેણાંક વિસ્તારોમાં પણ જે મિલકતદારોનો વેરો બાકી છે, તેમના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવા માટેની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે હવે કરચોરોએ વહેલી તકે વેરો ભરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:50 pm

કોર્ટે આરોપીની જામીન અરજી નકારી:કાપડના વેપારી પાસેથી 5 કરોડથી વધુનો માલ ખરીદી, બાકીના 3 કરોડ ન ચૂકવ્યા, આરોપીના વકીલે કહ્યું- આ સિવિલ દાવાની મેટર

અમદાવાદના DCB પોલીસ મથકે બે પુત્ર અને પિતા સહિત કુલ ત્રણ આરોપીઓ સામે એક વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ જય શ્રી ક્રિએશનના માલિક અજય સુખીયાણી તેમના ભાઈ અને તેમના પિતા ઉધારીમાં જથ્થાબંધ લેડીઝ ડ્રેસ મટીરીયલ સુટની ખરીદી કરીને 40થી 50 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની ખાતરી આપી હતી પરંતુ, પૈસા ચુકવ્યા નહીં અને દુકાન બંધ કરીને ગાયબ થઈ ગયા હતા. આરોપીઓએ ફરિયાદીને આપેલા ચેક પણ બાઉન્સ થયાઆરોપીઓએ 8 મહિનામાં 5.57 કરોડનું મટીરીયલ ખરીદી હતું જેમાં 2.28 કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા. જ્યારે બાકીના 3.29 કરોડ રૂપિયા આપ્યા નહોતા. આરોપીઓએ આપેલા 41 લાખના ચેક જે ફરિયાદીને આપવામાં આવ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા. અન્ય 4 વેપારીઓ પાસેથી લીધેલ લાખોના માલના પણ રૂપિયા ચૂકવાયા નથી. એક જ પ્રકારના કેસમાં બે ફરિયાદ દાખલ કરી છેઅરજદાર આરોપી અજયે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં તેના વતી રજૂઆત કરાઈ હતી કે, ફરિયાદીએ ખોટી ફરિયાદ દાખલ કરી છે. એક જ પ્રકારના કેસમાં બે ફરિયાદ દાખલ કરી છે. સહ આરોપીને જામીન અપાયા છે. 2 કરોડથી વધુ રૂપિયા ફરિયાદીને ચૂકવી અપાયા છે. બાકીના પેમેન્ટ પેટે ચેક આપવામાં આવ્યા છે. આ એક સિવિલ તકરાર છે. તેઓ વર્ષ 2013થી માર્કેટમાં ધંધો કરે છે. તેઓ છેતરપિંડીનો કોઈ ઇરાદો ધરાવતા નથી. આરોપીએ ફરિયાદી અને અન્ય વેપારીઓ પાસે છેતરપિંડી આચરીસામા પક્ષે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલો કરી હતી કે, 5 કરોડ રૂપિયાનો માલ લઈને માત્ર 2 કરોડ રૂપિયા ફરિયાદીને ચૂકવવામાં આવ્યા હતા. અન્ય વેપારીઓ પાસેથી પણ ઉધારમાં માલ લેવામાં આવ્યો છે. જેના પૈસા ચૂકવવામાં આવ્યા નથી. કોર્ટે નોધ્યું હતું કે, આરોપીએ ફરિયાદી અને અન્ય વેપારીઓ પાસે છેતરપિંડી આચરી છે. અરજદાર જય શ્રી ક્રિએશનના માલિક છે. જેથી તેને જામીન આપી શકાય નહીં.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:47 pm

BCAની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થશે !:રોયલ, રિવાઈવલ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે કાંટે કી ટકકર, પ્રેસિડેન્ટ-વાઇસ પ્રેસિડેન્ટની મળી કુલ 31 બેઠકો પર 165 ફોર્મ જમા થયા, 15 ફેબ્રુઆરીએ મતદાન

BCAની ચૂંટણીના ફોર્મ ભરવાની આજે સોમવારે અંતિમ તારીખ હતી. બીસીએની આગામી ચૂંટણી 15 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ ચૂંટણીમાં કુલ 31 બેઠકો માટે 165 ફોર્મ જમા થયા છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ફોર્મ સત્યમેવ જયતે ગ્રુપે ભર્યા છે. અનંત ઇન્દુલકરે પણ રોયલ ગ્રુપ તરફથી પ્રમુખ પદ માટેની ઉમેદવારી નોંધાવી હતી. મંગળવારે ફોર્મ ચકાસણી બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે. રોયલ, રિવાઇવલ અને સત્યમેવ જયતે આ ત્રણ જૂથ વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાશે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં નવો ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. આ વખતે કુલ 165 જેટલા ફોન જમા કરવામાં આવ્યા છે. 702 ફોર્મનો ઉપાડ થયો હતો. નિયત સમય મર્યાદા મુજબ 6 વાગતા બીસીએની મુખ્ય ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. મંગળવારે સ્ક્રુટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી આ ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મેદાનમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. વડોદરા શહેરના ક્રિકેટ પ્રેમીઓ અને સભ્યોની નજર અત્યારે રિવાઇવલ, રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના ઉમેદવારો પર ટકેલી છે. બીસીએના વહીવટમાં પરિવર્તન કે પુનરાવર્તન લાવવા માટે કુલ 31 વિવિધ પદ માટે ચૂંટણી યોજાશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી જેવા મુખ્ય હોદ્દાઓથી લઈને વિવિધ કમિટીના સભ્યોનો સમાવેશ થાય છે. આજે ભરાયેલા ફોર્મની આવતીકાલે ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે, કયા હોદ્દા પર સીધી ટક્કર થશે. 16 ફેબ્રુઆરીના રોજ સ્પષ્ટ થશે કે વડોદરાના ક્રિકેટનું ભવિષ્ય કોના હાથમાં રહેશે. જોકે રોયલ અને રિવાઇવલ જૂથ હાલના સમીકરણ જોતા એક થાય તો નવાઈ નહિ, આ ચર્ચાઓ પણ જોર પકડ્યું છે,

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:45 pm

AMC સાથે છેતરપિંડી-લાંચમાં પકડાયેલા કર્મચારીઓને ફરીથી નોકરીએ નહીં રખાય:ભાજપના શાસકોનો નિર્ણય, ફરીથી નોકરીએ રાખવાની કરેલી અરજીઓને ફગાવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડી અને લાંચ કેસમાં ઝડપાયેલા લોકોને ફરીથી નોકરીએ ન રાખવા અંગેનો નિર્ણય અપીલ સબ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. સફાઈ કામદાર તરીકે ફરજ બજાવનારા પતિ-પત્ની અને એક મહિલા દ્વારા કોર્પોરેશન સાથે નોકરીમાં છેતરપિંડી કરી હતી. જ્યારે એક કર્મચારીએ દંડની રકમમાં ઉચાપત કરી હતી. જ્યારે ફાયર બ્રિગેડના એક અધિકારી લાજ કેસમાં ઝડપાયા હતા. આ તમામ લોકોની ફરીથી નોકરીએ રાખવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. છેતરપિંડી અને લાંચ કેસમાં ઝડપાયેલા હોય તેવા લોકોને ફરીથી નોકરીએ નહીં રખાયસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અપીલ સબ કમિટી સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત આવી હતી, જેમાં કોર્પોરેશન સાથે છેતરપિંડી અને લાંચ કેસમાં ઝડપાયેલા હોય તેવા લોકોને ફરીથી નોકરીએ નહીં રાખવાનો નિર્ણય લીધો છે. જુદા જુદા વિભાગોમાં વિવિધ કારણોસર સસ્પેન્ડ થયા બાદ ખાતાકીય તપાસને અંતે ઘરભેગા કરાયા હોય તેવા કર્મચારીઓ દ્વારા અપીલ સબ કમિટી સમક્ષ દયાની અરજી કરી શકે છે. મંજૂરી વગર નોકરી પર ગેરહાજર રહેનારા, કોર્પોરેશન સાથે છેતરપિંડી તેમજ ભ્રષ્ટાચાર આચરતાં પકડાયેલાં વગેરે પ્રકારનાં ગુનાઓમાં સસ્પેન્ડ કરાયેલા તેમજ નોકરીમાંથી દૂર કરાયેલાં કર્મચારીઓ અપીલ સબ કમિટી સમક્ષ દયાની અરજી કરતાં હોય છે. આ તમામ લોકોની ફરીથી નોકરીએ રાખવાની અરજીને ફગાવીઆજે મળેલી અપીલ સબ કમિટીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવનાર અને દંડની જંગી રકમ ઘરભેગી કરી જનાર સેનેટરી સબ ઇન્સ્પેકટર અબ્દુલ લતીફ શેખ તથા ફાયર એનઓસી આપવા માટે લાંચ લેવાનાં કિસ્સામા ફાયર બ્રિગેડ ખાતામાં ટંડેલ તરીકે ફરજ બજાવતાં એરીક રીબેલોની અરજી ફગાવી દીધી હતી. સફાઈ કર્મચારી તરીકે નોકરી મેળવનારા પતિ-પત્ની અને ખોટા સર્ટિફિકેટ રજુ કરનાર સફાઈ કર્મચારીની પણ નોકરી પર પરત ફરવાની અરજી ને ફગાવી દેવાઇ હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:33 pm

દમણના શહેરી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:એક જ રાતમાં ત્રણ સ્થળે દેખાયો, CCTV ફૂટેજ સામે આવ્યાં

સંઘપ્રદેશ દમણના ગીચ શહેરી વિસ્તારોમાં દીપડાની હાજરી નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. એક જ રાતમાં દીપડો ત્રણ અલગ-અલગ સ્થળોએ જોવા મળ્યો હતો, જેના પગલે વન વિભાગ અને સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઘટનાક્રમની શરૂઆત રાત્રે 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં થઈ હતી. દમણના જ્યુપિટર ડિસલરી તરફ જતા મુખ્ય માર્ગ પર ડાભેલ સડક ફળિયામાં નેલસન સતીશ પટેલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક દીપડો તેમની કારની આગળથી રસ્તો ઓળંગીને પસાર થયો હતો. ત્યારબાદ, રાત્રે 1:00 થી 1:30 વાગ્યાના સુમારે વોર્ડ નંબર 9ની સાંગીયા શેરીમાં ઉદય કીર નામના યુવાને બાઈક પર આવતાં ગલીમાં દીપડાને ઉભેલો જોયો હતો. બાઈકના અવાજથી દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાઓની જાણ થતાં વન વિભાગે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં દીપડો લટાર મારતો સ્પષ્ટપણે કેદ થયો છે. આ ઉપરાંત, વહેલી સવારના 6:00 વાગ્યે દમણના ધોબી તળાવ વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાના અહેવાલો છે. એક જ રાતમાં ત્રણ સ્થળે દીપડાની હાજરીથી શહેરીજનો ભયભીત બન્યા છે. વોર્ડ નંબર 9ના કાઉન્સિલર સિમ્પલબેન કાટેલાએ આ ઘટનાને ગંભીર ગણાવી લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે સ્થાનિક પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:51 pm

પારનેરા નજીક હાઈવે પર વિદેશી દારૂ ઝડપાયો:રૂ. 24.60 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ

વલસાડ LCB ટીમે 19 જાન્યુઆરી, 2026 ના રોજ પારનેરા નજીક મુંબઈ-સુરત નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે રૂ. 24.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જૈન મંદિર નજીક ચેકિંગ દરમિયાન, LCB ટીમે MH-04-KU-3455 નંબરના ટાટા બંધબોડી ટેમ્પોને અટકાવ્યો હતો. ટેમ્પોની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિરાટ ઉર્ફે અંશુ ઉર્ફે વિકાસ દુબે (ઉ.વ. 27, રહે. વસઈ ઈસ્ટ, પાલઘર, મહારાષ્ટ્ર) ને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. LCB ટીમે કન્ટેનરમાંથી કુલ 127 બોક્સમાં ભરેલી 3672 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 24,60,288 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટેમ્પોની અંદાજિત કિંમત રૂ. 10 લાખ જણાવી છે. આ કેસમાં દારૂ ભરવા મોકલનાર અભિનવ (રહે. ભિવંડી, મહારાષ્ટ્ર) અને ટેમ્પો પૂરો પાડનાર તેના બે અજાણ્યા સાગરીતો હાલ ફરાર છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ઇન્સ્પેક્ટર તથા LCB ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડુંગરી પોલીસની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:46 pm

અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું:યશવર્ધન ચૌહાણના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ગુજરાતને 6 વિકેટે હરાવ્યું

વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાયેલી અંડર-19 કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલ મેચમાં મધ્યપ્રદેશની ટીમે ગુજરાત વચ્ચે યોજાઈ હતી. મધ્ય પ્રદેશની ટીમે ટોસ જીતી ગુજરાતની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. 4 દિવસીય ટુર્નામેન્ટના ત્રીજા દિવસે ફાઇનલ મેચનો નિર્ણય આવ્યો હતો. મધ્યપ્રદેશે ગુજરાતની ટીમને 6 વિકેટે પરાજય આપી ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મેચનું ત્રીજા દિવસે પરિણામ આવ્યું હતું, જેમાં મધ્યપ્રદેશે સંયમિત રમત બતાવી વિજય સુનિશ્ચિત કર્યો હતો. ફાઇનલના બીજા દાવમાં મધ્યપ્રદેશે 176 રનનો લક્ષ્યાંક માત્ર 4 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. ટીમની જીતમાં કુશાંગરા નાગરનો મહત્વનો ફાળો રહ્યો, જેમણે શાનદાર 71 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત, પુષ્કર વિશ્વકર્માએ 41 રન અને સ્પર્શ ધાકરે 37 રનની અણનમ ઇનિંગ રમી ટીમને જીત સુધી પહોંચાડી હતી. આ મેચ અને સમગ્ર ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશના યશવર્ધન ચૌહાણે ઓલરાઉન્ડ પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું. ફાઇનલમાં તેણે કુલ 8 વિકેટ ઝડપી ‘મેન ઓફ ધ મેચ’ બન્યો, જ્યારે સમગ્ર સિરીઝમાં 545 રન અને 58 વિકેટ સાથે ‘મેન ઓફ ધ સિરીઝ’નો ખિતાબ પણ મેળવ્યો. મેચ બાદ યશવર્ધને પોતાની સફળતાનો શ્રેય ટીમના કોચ, સપોર્ટ સ્ટાફ અને છેલ્લા છ મહિનાની સખત મહેનતને આપ્યો. તેણે વલસાડની પીચ, સ્ટેડિયમની સુવિધાઓ અને પ્રેક્ષકોના ઉત્સાહની પણ ભરપૂર પ્રશંસા કરી હતી. યશવર્ધનની આ સિદ્ધિ જોવા તેના પિતા ખાસ ગ્વાલિયરથી વલસાડ આવ્યા હતા. ગર્વ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “મને માત્ર આશા જ નહીં, પરંતુ પૂરો વિશ્વાસ હતો કે યશવર્ધન તેની મહેનત અને પ્રતિભાના બળે આ સફળતા હાંસલ કરશે.”

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:43 pm

ટ્રમ્પ ટેરિફનો સુરત ડાયમંડ માર્કેટ પર પ્રહાર:અમેરિકામાં નિકાસ 50% ઘટી, પણ નવા બજારોએ ઉગાર્યા, કુલ વેપારમાં માત્ર 2-3%નું વેરિએશ

વિશ્વના હીરા ઉદ્યોગના કેન્દ્ર ગણાતા સુરત અને ભારત માટે અમેરિકાના નવા ટ્રેડ ટેરિફ એક મોટો પડકાર બનીને આવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં અમેરિકા હંમેશા સૌથી મોટું ટ્રેડિંગ હબ રહ્યું છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફને કારણે ભારતીય નિકાસ પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને 'કટ એન્ડ પોલિશ્ડ' હીરાની નિકાસમાં અમેરિકા જેવા મોટા બજારમાં ધરખમ ઘટાડો થયો છે.અમેરિકામાં જે ડાયરેક્ટ 35% એક્સપોર્ટ થતું હતું, તેમાં સીધો 50% નો મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ નવા બજારોએ ઉદ્યોગને ટકાવી રાખ્યો છે. કુલ વેપારમાં માત્ર 2-3% નું વેરિએશન છે અમેરિકામાં થતી નિકાસમાં 50%નો મોટો ઘટાડો નોંધાયોભારતના કુલ ડાયમંડ એક્સપોર્ટના આંકડા જોઈએ તો, અગાઉ અમેરિકામાં ડાયરેક્ટ એક્સપોર્ટનો હિસ્સો 35% હતો, જ્યારે હોંગકોંગ-ચાઇનામાં 35% અને બાકીના 30% અન્ય દેશોમાં મોકલવામાં આવતા હતા. મહત્વની વાત એ છે કે અન્ય દેશોમાં મોકલેલા હીરા પણ અંતે જ્વેલરી બનીને અમેરિકાના બજારમાં જ વેચાતા હતા. આ નવા ટેરિફ બાદ, અમેરિકામાં થતી ડાયરેક્ટ નિકાસમાં સીધો 50% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જે ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે યુએઈ અને અન્ય નાના દેશોમાં નવી તકોજોકે, આ કપરા સમયમાં પણ એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ભારત સરકાર અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સંયુક્ત પ્રયાસોને કારણે બજારનું વૈવિધ્યકરણ શક્ય બન્યું છે. અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે યુએઈ અને અન્ય નાના દેશોમાં નવી તકો ઊભી કરવામાં આવી રહી છે. અગાઉ જ્યાં ભારતનું એક્સપોર્ટ નહિવત હતું, ત્યાં હવે ભારતીય હીરા પોતાની ઓળખ બનાવી રહ્યા છે. 200થી 300 જેટલી નવી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓઆ સ્થિતિમાં સુરત શહેરનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. હાલમાં સુરતમાં 200થી 300 જેટલી નવી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૂરજોશમાં કાર્યરત થઈ છે. પહેલા આપણે માત્ર હીરા પોલિશ કરીને મોકલતા હતા, પરંતુ હવે સુરતમાં જ તૈયાર થયેલી જ્વેલરી (ફિનિશ્ડ ગુડ્સ) સીધી વિદેશી બજારોમાં નિકાસ થઈ રહી છે. આ લોકલ મેન્યુફેક્ચરિંગને કારણે ટેરિફની અસરો સામે લડવા માટે ઉદ્યોગને મોટું બેકઅપ મળ્યું છે. આ વર્ષે કુલ નિકાસમાં માત્ર 2થી 3% નો જ સામાન્ય ઘટાડો સંદેશાત્મક રીતે જોઈએ તો, જોકે અમેરિકાના બજારમાં 50%નો મોટો ખાડો પડ્યો છે, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની કુલ નિકાસમાં આ વેરિએશન બહુ મોટું નથી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કુલ નિકાસમાં માત્ર 2થી 3% નો જ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આ આંકડો સૂચવે છે કે ભારતીય હીરા ઉદ્યોગ અમેરિકાના ટેરિફના આંચકા છતાં અન્ય દેશોના બજારો અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાના જોરે પોતાની મક્કમતા જાળવી રાખવામાં સફળ રહ્યો છે. એક્સપોર્ટ કટ એન્ડ પોલિશનું અમેરિકાની અંદર 35% હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું સૌથી વધારે મોટું જો સેલિંગ માર્કેટ એટલે કે ટ્રેડિંગ હબ હોય તો તે અમેરિકા હતું. ભારતનું ડાયરેક્ટ એક્સપોર્ટ કટ એન્ડ પોલિશનું અમેરિકાની અંદર 35% હતું. બાકીનું 35% હોંગકોંગ-ચાઈનાની અંદર હતું અને બાકીનું 30% અન્ય કન્ટ્રીઓની અંદર આપણે કટ એન્ડ પોલિશ એક્સપોર્ટ કરતા હતા. પરંતુ આ બધી જ કન્ટ્રીની અંદરથી જ્વેલરી બનીને એનું લાસ્ટ એક્સપોર્ટ પણ અમેરિકા જ થતું હતું. પરંતુ આ 50% ટેરિફના કારણે જે આપણું 35% એક્સપોર્ટ હતું, એની અંદર અત્યારે આપણને 50% નો ઘટાડો જોવા મળી રહ્યો છે - ખાસ કરીને કટ એન્ડ પોલિશના ડાયરેક્ટ એક્સપોર્ટમાં. અમેરિકા સાથે કટ એન્ડ પોલિશની અંદર 50% નો ઘટાડો સાથે તેઓએ જણાવ્યું હતું કે, બીજી બાજુ આપણે જોઈએ તો, આ ટેરિફની અસરને નાબૂદ કરવા માટે ભારત સરકાર અને 'જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'ના સંયુક્ત પ્રયાસોના કારણે આજે નવી ઓપોર્ચ્યુનિટી અલગ-અલગ કન્ટ્રીઓની અંદર આપણને ઊભી થઈ રહી છે. ખાસ કરીને યુએઈ અને એવા નાના-નાના દેશો કે જ્યાં પહેલા આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું કોઈ પણ પ્રકારનું એક્સપોર્ટ નહોતા કરતા.પરંતુ એની પાછળનું સૌથી મોટું કારણ હોય તો આજે સુરત શહેરની અંદર 200થી 300 જેટલી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કાર્યરત થઈ છે. એના ફિનિશ્ડ ગુડ્સ સાથે આપણે આ બધી કન્ટ્રીઓની અંદર અત્યારે એક્સપોર્ટ કરતા થયા છીએ. એવરેજ જોઈએ તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફક્ત 2થી 3% નું વેરિએશન છે, પરંતુ અમેરિકા સાથે કટ એન્ડ પોલિશની અંદર 50% નો ઘટાડો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:41 pm

કરસનદાસ બાપુ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા:જન આક્રોશ રેલીમાં નેતા શ્રીનિવાસે 'ભાજપને 50% કમિશનવાળી સરકાર' તો પ્રભારી વાસનિકે સરકારને 'ભ્રષ્ટાચારમાં લિપ્ત' કહી

સુરતના ઐતિહાસિક મુગલીસરા વિસ્તારમાં આજે કોંગ્રેસ દ્વારા 'જન આક્રોશ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત કતારગામ દરવાજાથી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સામાન્ય જનતા ઉમટી પડી હતી. પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી પહોંચી હતી. કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે સરકારને ઘેરી હતી. કરસનદાસ બાપુ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયાસુરતની આ રેલીમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના જાણીતા નેતા કરસનદાસ બાપુએ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેઓએ વિધિવત રીતે 'આપ' છોડી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે મુકુલ વાસનિકે તેમનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, જનતાનો અવાજ ઉઠાવવા માટે હવે તમામ પક્ષો અને લોકો એક મંચ પર આવી રહ્યા છે, જે પરિવર્તનનો સંકેત છે. આજ સુધી ભાજપે સનાતનની વાતો કરીને દેશને ગુમરાહ કર્યોકોંગ્રેસમાં જોડાયા બાદ તેઓએ કહ્યું હતું કે, ટૂંકું અને ટચ કહેવું છે, આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું અને ભાજપની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણે છે. બે મિનિટમાં મારે એ કહેવું છે કે, તમારે અને મારે એ સંકલ્પ કરવાનો છે. આજ સુધી ભાજપે સનાતનની વાતો કરીને દેશને ગુમરાહ કર્યો. જે લોકોએ ગાયની કતલ કરીને, માથે ભગવા રાખીને ગાયના માંસ પર સબસિડી આપે છે એવા લોકોને ઘર ભેગા કરવા માટે આજે તમારી સાથે આવ્યો છું. કોંગ્રેસમાં આવ્યો છું અને એ માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે. જે સોસાયટીમાંથી આવો છો જે ગામમાંથી આવો છો એને કહેજો કે ડરપોક ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલા માટે એટલા માટે બુદ્ધા-ચાલીની જેમ ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે. નેતા શ્રીનિવાસને યુવાનોના ભવિષ્ય અને ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરીકોંગ્રેસના નેતા શ્રીનિવાસને પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા તેને '50% કમિશન સરકાર' ગણાવી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે, આ સરકારમાં યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. પુલનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તે તૂટી પડ્યો છે, તો તમે સમજી લો કે આ 59% કમિશન લેતી સરકાર કઈ રીતે યુવાઓ સાથે રમત રમી રહી છે. જે બેરોજગાર યુવાનો રસ્તા પર ભટકી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓને આ લોકોએ નોકરી નથી આપી, તે તમામને જો ડ્રગ્સ અને દારૂના રવાડે ચડાવવાનું કામ કોઈએ કર્યું હોય, તો તે આ સરકારે કર્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ તો ટેલિવિઝન સરકાર છે; તેઓ ટીવીમાં દેખાય છે અને ટીવીમાં જ જતા રહે છે, એ વાત તમે બધા જાણો છો. આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સરકાર લાવવા માટે ગુજરાતની જનતા જે રીતે મહેનત કરી રહી છે, તે તમને 2027માં ખબર પડશે. 2027માં ભાજપ સરકારને ઉખેડી ફેંકવામાં આવશે અને કોંગ્રેસની સરકાર બનશે.યુવાઓને બચાવવાનું, ખેડૂતોને બચાવવાનું, મહિલાઓને બચાવવાનું, તમામ વર્ગો અને સમાજને બચાવવાનું તેમજ નાના વેપારીઓને સુરક્ષિત કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. “સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, એટલે જ ગુજરાતની આવી હાલત થઈ”ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે યાત્રા દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો સરકાર પ્રામાણિક હોત તો આજે ગુજરાતની આ સ્થિતિ ન હોત. તેમણે ખેડૂતોની સમસ્યા, બેરોજગારી અને પીવાના પાણીની અછત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ 'આક્રોશ યાત્રા' અહીં પ્રતીકાત્મક છે. ગુજરાતમાં લાખો-કરોડો લોકો જે પરેશાન છે - તેમની સમસ્યાઓને લઈને સુરતના રસ્તાઓ પર આ એક પ્રતીકાત્મક 'આક્રોશ યાત્રા' છે. તમામ લોકોની સમસ્યાઓને લઈને આજે સુરતમાં આ યાત્રા કાઢવામાં આવી રહી છે.બેરોજગારીને લઈને, ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા તેને લઈને, મહિલાઓનું ઉત્પીડન થઈ રહ્યું છે તેને લઈને, શિક્ષણની સુવિધાઓ નથી - આ તમામ બાબતો. ગામડાઓ અને ગલી-મહોલ્લાઓમાં પીવાનું પાણી નથી મળતું, પરંતુ દારૂ પહોંચી ગયો છે, ડ્રગ્સ પહોંચી ગયું છે. આ તમામ મુદ્દાઓને લઈને આ આક્રોશ છે. રેલીના અંતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર તપાસની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી અને ભરતસિંહ સોલંકી જેવા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:39 pm

ચોટીલામાં પ્રોહીબીશન આરોપીઓ અને અસામાજિક તત્વોને ત્યાં વીજ ચેકિંગ:PGVCLની 43 ટીમોએ ચેકિંગ હાથ ધરી રૂ. 1.30 કરોડથી વધુનો દંડ ફટકારાયો, 6 વાહન ડિટેઈન

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ની આગેવાની હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નાની મોલડી, જાની વડલા, કાંધાસર અને ચોટીલા ટાઉન ખાતે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અને અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર PGVCL ટીમો સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1,30,90,000/- (એક કરોડ ત્રીસ લાખ નેવું હજાર) નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી, સુરેન્દ્રનગર જિલ્લા LCB ટીમ, તેમજ ચોટીલા અને લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. કુલ 43 PGVCL ટીમોને સાથે રાખીને ગેરકાયદેસર વીજ કનેક્શન શોધી કાઢવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચેકિંગ ઉપરાંત, નાની મોલડી અને જાની વડલા ગામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ચુસ્ત ટ્રાફિક ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન કુલ 6 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને હાજર દંડ (NC-25) પેટે કુલ રૂ. 9,300/- વસૂલવામાં આવ્યા હતા. નેશનલ હાઈવે પર આવેલી 7 હોટલોની પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકા હતી. જે ઇસમોના ઘરોની તપાસ કરવામાં આવી હતી, તેમના વિરુદ્ધ અગાઉ દાખલ થયેલા ગુનાઓની વિગતો પણ ચકાસવામાં આવી હતી. આ સઘન ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો પર કાયદાનો સકંજો કસવાનો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:36 pm

હજીરાના જૂના ગામમાં પંજાબી યુવકની હત્યા:ગળા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, રૂમ પાર્ટનરો દ્વારા હત્યા કરાઈ હોવાની આશંકા

સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલ જૂના ગામના ડેરી ફળિયામાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં ભાડે રહેતા એક યુવકની હત્યા પાછળ તેના જ બે રૂમ પાર્ટનરો હોય તેવી આશંકા પોલીસને છે. હાલ પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પાછળ જૂની અદાવત હોવાનું મકાન માલિકની ફરિયાદ પરથી જણાઈ રહ્યું છે. હજીરાના જૂના ગામમાં પંજાબી યુવકની હત્યાઘટનાની વિગતો મુજબ, હજીરાના જૂના ગામમાં મેહુલકુમાર છબીલભાઈ પટેલના મકાનમાં પંજાબના વતની એવા ત્રણ યુવકો ભાડે રહેતા હતા. મૃતક શેરાસિંગ હરભજન સિંગ અને તેના બે સાથીદારો સરબજીત સીંગ અને અમરીક સિંગ છેલ્લા કેટલાક સમયથી અહીં સાથે રહેતા હતા. તેઓ રોજગારી અર્થે પંજાબથી સુરત આવ્યા હતા અને રૂમ ભાડે રાખીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બંનેએ મનમાં અદાવત રાખી હતીમળતી માહિતી મુજબ, મૃતક શેરાસિંગને તેના બંને રૂમ પાર્ટનરો, સરબજીત સીંગ અને અમરીક સિંગ સાથે થોડા સમય અગાઉ કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જોકે તે સમયે આ વિવાદ શાંત પડી ગયો હોય તેમ જણાતું હતું, પરંતુ બંને આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી અને શેરાસિંગને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. ગળા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યાગત 17 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ જ્યારે મકાન માલિક મેહુલકુમારને જાણ થઈ કે શેરાસિંગ તેના રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો છે, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે શેરાસિંગના ગળા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અગાઉ ત્રણેયનો ઝઘડો થયો હતોઆ ઘટનાની જાણ થતા જ હજીરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મકાન માલિક મેહુલકુમાર પટેલે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શેરાસિંગને અગાઉ સરબજીત અને અમરીક સાથે ઝઘડો થયો હતો. પોલીસે આ ફરિયાદના આધારે બંને શખ્સો સામે શંકાની સોય રાખી તપાસ શરૂ કરી છે. લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈહજીરા પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે પરપ્રાંતીય શ્રમિકોમાં ફાળ પડી ગઈ છે અને પોલીસ આરોપીઓને પકડવા માટે વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે. આરોપીઓ હાલ ફરાર, પોલીસ તપાસ શરૂહત્યાની આશંકા સાથે શરૂ થયેલી આ તપાસમાં આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જે તેમની સંડોવણી તરફ વધુ મજબૂત સંકેત આપે છે. હજીરા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને પંજાબ અને આસપાસના વિસ્તારોમાં તપાસ લંબાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:30 pm

સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે મેળવનારની જામીન અરજી નકારાઈ:આરોપીના બેંક એકાઉન્ટમાં 1.70 કરોડના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન થયેલા

અમદાવાદના સાઇબર ક્રાઇમ પોલીસ ખાતે ડિસેમ્બર મહિનામાં ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચાણસ્માના પાર્થ પરમાર નામના આરોપીએ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી હતી. સાયબર ફ્રોડ આચરતા આરોપીઓ પૈસા નેટ બેન્કિંગથી ઉપાડી લેતાકેસને વિગતે જોતા આરોપી લોકોને કમિશનની લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટ ભાડે લેતો અને તે સાઇબર ફ્રોડ આચરતા લોકોને આપી દેતો જેમાં તેને પણ કમિશન મળતું. જેથી આ એકાઉન્ટમાં સાઈબર ફ્રોડની રકમ જમા થતી. સાયબર ફ્રોડ આચરતા આરોપીઓ તેને નેટ બેન્કિંગથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેતા અથવા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી દેતા. 10 હજાર રૂપિયાના કમિશન ઉપર તેનું બેંક એકાઉન્ટ ભાડેદેશના અલગ અલગ રાજ્યોમાંથી સમન્વય પોર્ટલ ઉપર સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા એકાઉન્ટની વિગતો અપલોડ થઈ હતી. જેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે એક 21 વર્ષીય યુવકના એકાઉન્ટની તપાસ કરતા તેને જણાવ્યું હતું કે પાર્થ પરમાર નામના યુવકને ન્યુ સીજી રોડના વિસત પાન પાર્લર ઉપર મળ્યો હતો. તે સમય તે બીમાર હોવાથી તેને પૈસાની જરૂર હતી. પાર્થે તેને 10 હજાર રૂપિયાના કમિશન ઉપર તેનું બેંક એકાઉન્ટ ભાડે લીધું હતું. આરોપીના ખાતામાં સાઈબર ફ્રોડના 1.70 કરોડ રૂપિયા જમા થયા હતાઆરોપીના વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં સહ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. આરોપી 23 વર્ષનો યુવક છે. તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે દેશમાં મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમના ગુન્હા થઈ રહ્યા છે. જેમાં કમિશન આપીને ખાતું ભાડે લેવાની પ્રવૃત્તિઓ વધી છે. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે જામની અરજી નકારીઆરોપીઓ સાયબર ફ્રોડથી મેળવાયેલી રકમ આવા ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી તેને નેટબેન્કિંગ દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને ઉપાડી લે છે અથવા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી દે છે. વર્તમાન અરજદાર આરોપીના ખાતામાં સાઈબર ફ્રોડના 1.70 કરોડ રૂપિયા જમા થયા હતા. કોર્ટે આરોપીની જામીન અરજી નકારી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:25 pm

રિવ્યુ બેઠકમાં સ્ટે. ચેરમેન લાલઘૂમ:રાજકોટનાં ગત બજેટમાં સુચવેલી યોજનાઓની ધીમી કામગીરી મુદ્દે અધિકારીઓનાં કલાસ લીધા, બાકી કામો સત્વરે પૂર્ણ કરવા અને વિલંબનો ખુલાસો કરવા આદેશ

રાજકોટ મહાનગરપાલિકામાં નવા નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ વચ્ચે ગત વર્ષના બજેટના કામોની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકરે લાંબા સમય બાદ ગત બજેટમાં સૂચવાયેલી યોજનાઓ કયા તબક્કે પહોંચી છે તેનું સ્ટેટસ જાણવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શાખાઓના અધિકારીઓ અને ચારેય ડે. કમિશનરોની હાજરીમાં એક મહત્વપૂર્ણ બજેટ રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વિકાસ કામોની મંદ ગતિ જોઈને ચેરમેને અધિકારીઓનો ઉધડો લીધો હતો અને બાકી રહેલી યોજનાઓ બાબતે કડક વલણ અપનાવ્યું હતું. બાકી રહેલા કામો અંગે અધિકારીઓનાં કલાસ લઈ તમામ કામો સત્વરે પુરા કરવા અને વિલંબ માટે ખુલાસો આપવા આદેશો આપ્યા હતા. જોકે નવા બજેટને માત્ર એકાદ મહિનાનો સમય બાકી છે ત્યારે આ રિવ્યુ બેઠક બાદ પણ ઘણા કામો બાકી રહેવાની શક્યતા છે. રાજકોટ મહાપાલિકાના વર્ષ 2025-26 ના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચવવામાં આવેલી રૂ. 55.92 કરોડની 20 યોજનાઓમાંથી હજુ રૂ. 46.10 કરોડની 10 જેટલી યોજનાઓમાં તો કામની ઈંટ પણ મૂકવામાં આવી નથી, જે તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. આ પ્રોજેક્ટ્સમાં સ્માર્ટ સિટી અંતર્ગત સૂચવાયેલા કામો, બગીચાઓનું નવીનીકરણ અને લાઈટિંગના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. જોકે આ પૈકી અમુક પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયામાં છે. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકરે જુના કામોનો હિસાબ માંગવા તમામ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વહીવટી તંત્ર દ્વારા નવી યોજનાઓના આયોજનો થઈ રહ્યા છે, પરંતુ જૂની યોજનાઓના ટેન્ડરિંગ અને અમલમાં થતા વિલંબને કારણે જનતામાં પણ નારાજગી જોવા મળી રહી છે. કમિશનર બ્રાન્ચના કોન્ફરન્સ રૂમમાં મળેલી આ બેઠકમાં ચેરમેને સ્પષ્ટ સવાલ કર્યો હતો કે બજેટમાં મંજૂર કરેલા કેટલા પ્રોજેક્ટ્સ ખરેખર શરૂ થયા અને કેટલા હજુ કાગળ પર જ છે? આ બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન ઉપરાંત પાંચ પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ, કમિશનર, તમામ ડેપ્યુટી કમિશનરો અને તમામ સિટી ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખાસ કરી બજેટ આપ્યા પછી શું કર્યું? અને હવે બાકી રહેલા બે મહિનામાં શું કરશો? તેવા વેધક સવાલો પૂછીને અધિકારીઓને કામ પૂર્ણ કરવા માટે ચોક્કસ લક્ષ્યાંકો આપવામાં આવ્યા હતા. ઉપરાંત રસ્તાના પેચવર્ક, ડ્રેનેજ લાઈનના નવીનીકરણ અને ખાસ કરીને આરોગ્ય કેન્દ્રોના અપગ્રેડેશન જેવા પ્રોજેક્ટ્સમાં જ્યાં વધુ વિલંબ થયો છે, ત્યાં જવાબદાર અધિકારીઓને સ્થળ તપાસ કરી રિપોર્ટ સોંપવા પણ તાકીદ કરવામાં આવી છે. વર્ષ 2025-26 ના રૂ. 3100 કરોડના કુલ બજેટમાંથી અત્યાર સુધી માત્ર રૂ. 1400 કરોડ જ વપરાયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે અડધા વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કુલ બજેટના 50% રકમનો પણ વપરાશ થયો નથી. જેને લઈને શાસક પક્ષમાં પણ નારાજગી જોવા મળી છે. આ સાથે કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટમાંથી કેટલી ગ્રાન્ટ વપરાઈ અને કેટલી બાકી છે તેની વિગતવાર માહિતી પણ માંગવામાં આવી છે. અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે જનતાના કામોમાં વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં અને જો આગામી સમયમાં કામગીરીમાં સુધારો નહીં જણાય તો શિક્ષાત્મક પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આજે સાંજે ગત બજેટમાં સૂચવેલા કામો અંગે એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચવવામાં આવેલા તમામ બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા અને જો ન થાય તેમ હોય તો અધિકારીઓને લેખિત ખુલાસો આપવા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. નવા બજેટની ચર્ચા કરતા પહેલા ગત વર્ષના બજેટમાં સૂચવેલા તમામ કામો પુરા થાય તે માટે આદેશ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી આ કામો પુરા નહીં થાય ત્યાં સુધી નવા બજેટની ચર્ચા નહીં કરવા અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એકતરફ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આજે ગત વર્ષના બજેટની રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. બીજીતરફ મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ 2026-27 ના નવા વાર્ષિક અંદાજપત્રની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં કમિશનર તુષાર સુમેરા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નવું બજેટ રજૂ કરવાના છે, ત્યારે ચેરમેન દ્વારા પ્રથમ બાકી કામો પૂર્ણ કરવા અથવા આ માટે લેખિત ખુલાસો કરવા તાકીદ કરવામાં આવતા જ અધિકારીઓ દોડતા થયા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:06 pm

શંકરાચાર્યનું અપમાન સહન નહીં કરીએ:જામનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, યુપી-કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર સાથે કાર્યકરોએ રસ્તા રોક્યા, પોલીસે અટકાયત કરી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સ્વામી શંકરાચાર્યનું અપમાન અને સાધુ-સંતોને માર મારવાના મામલે જામનગરમાં કોંગ્રેસે લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુપી-કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ રસ્તા રોક્યા હતા. જેને પગલે પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાકોંગ્રેસે યુપીની યોગી સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, યુપી સરકાર હિન્દુત્વની ખોટી વાતો કરી રહી છે અને આવી ઘટનાઓ બનવા છતાં કેન્દ્ર સરકાર મૌન છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં વિવિધ સુત્રોચ્ચાર કર્યાંપ્રદર્શનકારીઓએ શંકરાચાર્યનું આ અપમાન સહન નહીં કરીએ, ધાર્મિક વિરાસતોને તોડવાનું બંધ કરો, યુપી સરકાર હાય હાય અને ભાજપ સરકાર હાય હાય જબ જબ ભાજપ ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ જેવા નારા લગાવ્યા હતા. કાર્યકરો અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયુંવિરોધને કારણે થોડા સમય માટે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પરિણામે, પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત કોંગ્રેસના અનેક કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી. જ્યા પણ અત્યાચાર થશે ત્યા અમે અવાજ ઉઠાવીશુંઃ કોંગ્રેસશહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું કે, પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગઈકાલે માઘ મેળામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને રોકવામાં આવ્યાં હતા અને એમના ભક્તો પર UP પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હતો. આના પરથી સાબિત થાય છે કે, હિન્દુત્વની વાતો કરનારી સરકાર કોઈને પણ છોડવા માંગતી નથી. ભાજપ સરકાર હિન્દુ વિરોધી છે એ સાબીત થાય છે તેઓનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. જે યુપીની સરકાર હિન્દુની વાતો કરે છે ત્યા જ આવો અન્યાય થઈ રહ્યો છે. અમે સર્વ ધર્મમાં માનનારા છીએ જ્યા પણ અત્યાચાર થશે ત્યા અમે અવાજ ઉઠાવીશું. આજે અમે સુત્રોચ્ચાર કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. 3 મુદ્દામાં જાણો મૌની અમાસ પર શું થયું… આ પણ વાંચો-શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 24 કલાકથી ધરણાં પર, અન્ન-જળનો ત્યાગ કર્યોહવે જુઓ જામનગરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની તસવીરો….

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:03 pm

કુબેરનગરમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ:6500 લીટર દેશી દારૂ પકડાયો, મહિલા અને બે શ્રમિકો ચલાવી રહ્યા હતા ફેક્ટરી

અમદાવાદના કુબેરનગરમાંથી પોલીસે દેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે રેડ કરતા દારૂની ફેક્ટરીમાંથી દારૂ બનાવવા માટેનો 6,500 વોશ, દેશી દારૂ સહિતના દેશી દારૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે 1.73 લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કુબેરનગરમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈઝોન 4 ડીસીપીના એલસીબી સ્કોડના પીએસઆઈ એસ.એમ પટેલની ટીમને મળી હતી કે, કુબેરનગર વિસ્તારમાં દેશી દારૂની ફેક્ટરી ચાલી રહી છે. જેના આધારે પોલીસે દેશી દારૂની ફેક્ટરી ઉપર રેડ કરી હતી. ત્યાંથી દેશી દારૂ બનાવવાનો સામાન જેમાં દેશી દારૂ ગાળવાનું વોશ 6500 લીટર, 40 લીટર દેશી દારૂ, દેશી દારૂ ગાળવાના સાધનો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડઆ ઉપરાંત ફેક્ટરી ચલાવતા માનકુવર ઉર્ફે કાળી બજરંગે નામની મહિલા અને રામકુમાર તથા અજય કુમાર નામના બે મજૂર પણ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં મહિલા જ દેશી દારૂની ફેક્ટરી ચલાવતા હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી 1.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:01 pm

Editor’s View: યુરોપ બોજ, રશિયા મિત્ર:NATOનો કચ્ચરઘાણ, ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપ અને અમેરિકા બથ્થંબથ્થાં, ભારતને ચાર ફાયદા

કલ્પના કરો કે જે દેશે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાનો નકશો દોર્યો, જેણે યુરોપની રક્ષા પાછળ અબજો ડોલર પાણીની જેમ વહાવ્યા, એ જ દેશ આજે કહી રહ્યો છે 'યુરોપ હવે અમારો બોજ છે' અને અમારે રશિયા સાથે દોસ્તી કરવી છે. વાત થઈ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પના 2025ના નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટની. જેના બહાર આવતા જ દુનિયાભરના રાજદ્વારીઓના પરસેવા છૂટી ગયા છે. આ માત્ર એક કાગળ નથી, પણ આવનારા દાયકાના બદલાતા વિશ્વની બ્લુ પ્રિન્ટ છે. અધૂરામાં પૂરું અમેરિકાએ હવે ગ્રીનલેન્ડ પર દાવો બેસાડી દીધો છે જેના કારણે પહેલેથી જ અકળાયેલું અમેરિકાનું દોસ્ત યુરોપિયન યુનિયન હવે અમેરિકા સામે જ આંખો લાલ કરીને બેઠું છે. બરફથી ઢંકાયેલા વિશાળ ટાપુ પર અમેરિકા શા માટે દાવો કરી રહ્યું છે અને તેના કારણે EU કેમ ફફડી રહ્યું છે? આજે તેની વાત કરીશું. નમસ્કાર.... ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નેતૃત્વમાં જે સુરક્ષા દસ્તાવેજ તૈયાર કરાવ્યો છે, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે: આ નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી અમેરિકી સરકારનો એ માસ્ટર પ્લાન છે જે નક્કી કરે છે કે અમેરિકા કોની સાથે લડશે અને કોની સાથે દોસ્તી કરશે. આ વખતે આ પ્લાનમાં 5 એવી વાતો છે જેણે વૈશ્વિક રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે: ટ્રમ્પની રિયલ સ્ટેટ જીઓપોલિટિક્સ અમેરિકાનું ડોક્યુમેન્ટ તો નવેમ્બર 2025માં આવ્યું હતું પણ હવે વાત કરીએ એ વિષયની જે દુનિયાભરમાં હાલ સૌથી વધુ ચર્ચામાં છે… ગ્રીનલેન્ડ. ટ્રમ્પ માટે ગ્રીનલેન્ડ માત્ર એક ટાપુ નથી, પણ 21મી સદીનું સૌથી મોટું રિયલ સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ છે. ગ્રીનલેન્ડ પર કબજો એટલે વૈશ્વિક વેપાર પર સીધો કંટ્રોલ. આ છે ટ્રમ્પનો અસલી માસ્ટર પ્લાન. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે અમેરિકા ગ્રીનલેન્ડને પોતાના નકશામાં સામેલ કરવા માંગે છે. પણ કેમ? 1. આર્કટિક પર કબજો: ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ પીગળી રહ્યો છે અને નવા સમુદ્રી માર્ગો ખુલી રહ્યા છે. જે દેશનો ગ્રીનલેન્ડ પર કબજો હશે, તે એશિયા અને યુરોપ વચ્ચેના નવા ટૂંકા વેપાર માર્ગોને કંટ્રોલ કરશે. અમેરિકા નથી ઈચ્છતું કે ગ્રીનલેન્ડ વિસ્તારમાં ચીન કે રશિયા પોતાનો પગપેસારો કરે. 2. કુદરતી સંસાધનોનો ખજાનો: ગ્રીનલેન્ડના પેટાળમાં પ્લેટિનમ, પેલેડિયમ અને રેર અર્થ મિનરલ્સનો અખૂટ ભંડાર છે. આજે દુનિયા આ સંસાધનો માટે ચીન પર નિર્ભર છે. જો અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવી લે, તો તે ચીનની ટેકનોલોજીકલ મોનોપોલીને એક ઝાટકે ખતમ કરી શકે છે. હાલમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી અને એડવાન્સ ફાઈટર જેટ્સ બનાવવા માટે જરૂરી મિનરલ્સ પર ચીનનું મોટું નિયંત્રણ છે. ગ્રીનલેન્ડમાં નિયોડિમિયમ, પ્રેસિયોડિમિયમ, ટેર્બિયમ અને ડિસપ્રોસિયમ જેવા તત્વોનો એટલો મોટો ભંડાર છે જે ચીનની મોનોપોલી તોડી શકે છે. આ મિનરલ્સના કારણે જ ગ્રીનલેન્ડ હવે નવું તેલ બની ગયું છે. 3. ડિફેન્સ શિલ્ડ: અમેરિકાના સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો રશિયા કે ચીન ગ્રીનલેન્ડમાં પોતાનું લશ્કરી બેઝ બનાવે, તો વોશિંગ્ટન અને ન્યૂયોર્ક તેમની મિસાઈલ રેન્જમાં સીધા આવી જાય. એટલે ગ્રીનલેન્ડને અમેરિકન પ્રોટેક્ટરેટ બનાવવું એ ટ્રમ્પની પ્રાથમિકતા છે. અમેરિકા, ડેનમાર્ક અને EU વચ્ચેની બબાલ ગ્રીનલેન્ડ હાલમાં ડેનમાર્કનો એક ઓટોનોમસ ભાગ છે. ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની કે તેને અલગ કરવાની ઈચ્છાએ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ છેડ્યો છે. ડેનમાર્કનો આક્રોશ: ડેનમાર્કે સ્પષ્ટ કહી દીધું છે કે, ગ્રીનલેન્ડ વેચવા માટે નથી. ડેનમાર્ક તેને પોતાના સાર્વભૌમત્વ પરનો હુમલો માને છે. ડેનિશ વડાપ્રધાને આ વિચારને એબ્સર્ડ એટલે કે વાહિયાત ગણાવ્યો હતો, જેના જવાબમાં ટ્રમ્પે પોતાની ડેનમાર્કની મુલાકાત રદ કરી દીધી હતી. યુરોપિયન યુનિયનનો ડર: EU ફફડી રહ્યું છે કારણ કે જો અમેરિકા ગ્રીનલેન્ડને ડેનમાર્ક પાસેથી છીનવી લે અથવા તેને અલગ થવા માટે એન્કરેજ કરે, તો યુરોપનો નકશો બદલાઈ જશે. EUને લાગે છે કે ટ્રમ્પ લોકશાહીના મૂલ્યો ને બદલે સામ્રાજ્યવાદી વિચારધારા અપનાવી રહ્યા છે. યુરોપિયન યુનિયનને ડર છે કે અમેરિકા હવે યુરોપના સંસાધનો પર સીધો કબજો કરવા માંગે છે. ટ્રમ્પનું લોજિક સિમ્પલ છે, ડેનમાર્કને ગ્રીનલેન્ડ સાચવવા માટે દર વર્ષે અબજો ડોલરની સબસિડી આપવી પડે છે. ટ્રમ્પ કહે છે, તમારાથી નથી સચવાતું તો અમને આપી દો, અમે તેને ડેવલપ કરીશું. આ વાત ડેનમાર્ક અને EU ને અપમાનજનક લાગે છે. ગ્રીનલેન્ડ મુદ્દે નાટો સંગઠનમાં ન પૂરી શકાય તેવી તિરાડ જોવા મળી રહી છે. એક તરફ અમેરિકા ગ્રીનલેન્ડને પોતાની ડિફેન્સ સ્ટ્રેટેજિક જરૂરિયાત ગણાવી દબાણ કરી રહ્યું છે, તો બીજી તરફ ડેનમાર્ક, જર્મની અને ફ્રાન્સ જેવા સભ્ય દેશોએ અમેરિકા સામે મોરચો માંડ્યો છે. યુરોપિયન દેશોનું માનવું છે કે અમેરિકા પોતાના જ સાથી દેશ એટલે કે ડેનમાર્કના પ્રદેશ પર નજર બગાડીને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી રહ્યું છે. આ વિવાદને કારણે નાટોના દેશો અંદરોઅંદર બાખડ્યા છે. ટ્રમ્પના વલણથી યુરોપમાં ફફડાટ છે. કારણ કે જો રક્ષક જ રિયલ સ્ટેટ એજન્ટ બનીને સાથી દેશોની જમીનનો સોદો કરવા લાગે, તો રશિયા સામેના નાટો લશ્કરી ગઠબંધનનો પાયો જ હચમચી જશે. ભારત, ચીન અને પાકિસ્તાન પર અસર અમેરિકાના ડોક્યુમેન્ટ વિષય પર પાછા આવીએ તો આ અમેરિકાની નવી સ્ટ્રેટેજીમાં ભારતનો ઉલ્લેખ ભલે ઓછો હોય, પણ તેનું મહત્વ વધ્યું છે. બાઈડનના સમયમાં ભારતનો 7 વાર ઉલ્લેખ હતો, ટ્રમ્પના ડોક્યુમેન્ટમાં 4 વાર છે. પણ આ 4 ઉલ્લેખ ખૂબ ગંભીર છે: ડૉક્યુમેન્ટમાં ભારતનો 4 વાર ઉલ્લેખ 1) ટ્રંપે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની વાટાઘાટો કરાવી 2) ઈન્ડો-પેસિફિક સુરક્ષામાં ભારતને યોગદાન આપવા પ્રોત્સાહિત કરવું 3) ભારતને ગ્લોબલ સાઉથમાં ચીનના વિકલ્પ તરીકે પ્રોજેક્ટ કરવું 4) ભારતથી લઈને જાપાન સુધીના દેશો સાથે મજબૂત સહકારની વાત પાકિસ્તાન માટે આ દસ્તાવેજ ખરાબ સમાચાર લઈને આવ્યો છે. પાકિસ્તાનનો ઉલ્લેખ માત્ર એક જ વાર છે, અને એ પણ મધ્યસ્થીના સંદર્ભમાં. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન હવે તેમનું વ્યૂહાત્મક ભાગીદાર નથી. પણ આ ડોક્યુમેન્ટ મુજબ છે, વાસ્તવ પરિસ્થિતિ આખું'ય ગામ જાણે છે. હવે જાણીએ કે દુનિયાના શક્તિશાળી દેશોએ શું પ્રતિક્રિયા આપી. 1945નો એ સમય યાદ કરો, જ્યારે અમેરિકાએ માર્શલ પ્લાન લગાવી બરબાદ થયેલા યુરોપને ફરી બેઠું કર્યું હતું. કોલ્ડ વૉર સમયે અમેરિકાએ અબજો ડોલર યુરોપની સુરક્ષા પાછળ ખર્ચ્યા હતા, જેથી રશિયાને રોકી શકાય. પણ આજે પરિસ્થિતિ ઉલટી છે. વોશિંગ્ટન હવે એવું માને છે કે યુરોપિયનો મફતમાં અમેરિકાના ખભે બંદૂક ફોડે છે. આ દસ્તાવેજમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે અમેરિકા હવે તે જૂના બોજમાંથી મુક્ત થવા માંગે છે. અમેરિકાની યુરોપ સાથેની મિત્રતા હવે લેવડ-દેવડના સંબંધોમાં બદલાઈ ગઈ છે. આડકતરી રીતે, અમેરિકા હવે લોકશાહી ફેલાવવાના નામે બીજા દેશોની બાબતોમાં મોઢું નહીં મારે. તે માત્ર તેવા જ દેશોને સાથ આપશે જે અમેરિકાના હિતમાં કામ કરશે. પણ એ ન ભૂલવું જોઈએ કે ટ્રંપ હાથીના દાંત જેવા છે. પશ્ચિમ દિશામાં જવાનું કહે અને પૂર્વમાં જાય. ટ્રમ્પનો આ 33 પાનાનો દસ્તાવેજ અને ગ્રીનલેન્ડ પરની તેમની નજર સાબિત કરે છે કે હવે દુનિયા વૈશ્વિક ભાઈચારાથી નહીં પણ વ્યક્તિગત સ્વાર્થથી ચાલશે. જો આવું જ ચાલું રહેશે તો ભવિષ્યમાં વિશ્વ પર મોટી અસરો થઈ શકે છે વિશ્વ પર મોટી અસરોની સંભાવના 1) રશિયા-અમેરિકા વચ્ચે વેપાર કરારો થઈ શકે 2) EUને જાતે ડિફેન્સ ઊભું કરવું પડે 3) EUના અર્થતંત્ર પર બોજ આવી શકે 4) અમેરિકા ચીન પર ટેરિફ વધારી શકે 5) નાટો ફૂટના કારણે નબળું પડી શકે અને છેલ્લે…. ઘણાને એમ લાગે છે કે ગ્રીનલેન્ડ ખરીદવાનો વિચાર માત્ર ટ્રમ્પનો છે, પણ આ વાત અધૂરી છે. બીજા વિશ્વયુદ્ધ પછી, 1946માં અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેને ડેનમાર્કને ગ્રીનલેન્ડના બદલામાં 100 મિલિયન ડોલરના સોનાની ઓફર કરી હતી. તે સમયે ડેનમાર્કે ના પાડી દીધી હતી. તેનાથી પણ પાછળ જઈએ તો 1867માં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગ્રીનલેન્ડ ખરીદવા માટે તપાસ કરી હતી. એટલે કે, ગ્રીનલેન્ડ પર અમેરિકાની નજર દોઢ સદી જૂની છે. ટ્રમ્પ માત્ર એ જૂના અમેરિકન ડ્રીમને હકીકત બનાવવાની જીદ પકડીને બેઠા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:55 pm

અમદાવાદમાં પ્રાઈવેટ સ્કૂલો FRC કરતાં વધુ ફી વસૂલતા હોવાની ફરિયાદ:DEO શો-કોઝ નોટિસ ફટકારી, એક દિવસમાં ખુલાસો રજૂ નહીં કરે તો માન્યતા પણ રદ થઈ શકે

અમદાવાદ શહેરની વધુ બે શાળાઓએ વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે. રાણીપ વિસ્તારમાં આવેલી બાલકૃષ્ણ પ્રાથમિક સ્કૂલ અને સુપર ઇંગ્લિશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી FRC કરતા વધુ ફી વસૂલવામાં આવી હોવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતા જ બંને શાળાઓને FRC એ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી વસૂલી હોવાથી શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એક દિવસમાં બંને શાળા યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો માન્યતા રદ્દજિલ્લા શિક્ષણાધિકારીની ટીમે બંને શાળાઓમાં જઈને તપાસ પણ કરી હતી. જેમાં ભાડા કરારમાં વિસંગતતા તેમજ શાળામાં અનધિકૃત બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી, શાળા પાસે બીયુ પરમિશન છે કે નહીં અને નિયમ બાંધકામની ઇમ્પેક્ટ ફી ભરી છે કે નહીં તેની વિગતો પણ આપવા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે તેમજ RTE એક્ટના નિયમોનો ભંગ કરવા બદલ શાળાની માન્યતા રદ કેમ ન કરવી તેનો ખુલાસો રજૂ કરવા પણ શાળાને સૂચના અપાઈ છે. જો એક દિવસમાં બંને શાળા યોગ્ય પુરાવા રજૂ નહીં તો માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. રાણીપ વિસ્તારની બે શાળાઓને નોટિસ આપવામાં આવીઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, રાણીપ વિસ્તારની બે શાળાઓને નોટિસ આપવામાં આવી છે. વધુ ફી ઉઘરાવવા બાબતની ફરિયાદ મળતા શાળાને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. જરૂરી ઉઘરાવવામાં આવતી ફીના પુરાવા પણ માંગવામાં આવ્યા છે તેમજ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. મળેલી રજૂઆતના આધારે સદર શાળા પાસે બીયુ પરમિશન પણ નથી. ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામ નિયમિત કરેલું છે કે કેમ તે બાબતના આધારે પણ સત્વરે આપવા સૂચના આપવામાં આવે છે તેમજ એવી પણ રજૂઆત છે કે, ભાડા કરાર પૂર્ણ થઈ ગયો છે. રેગ્યુલેટરી કમિટીને પણ રિપોર્ટ કરીશુંવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, એક ચેરીટેબલ ટ્રસ્ટ અન્ય ચેરીટેબલ ટ્રસ્ટને જ્યારે ભાડેથી કોઈ જગ્યા આપે છે ત્યારે તેને ચેરીટી કમિશનરની મંજૂરી મેળવેલી છે કે કેમ તે બાબતે ચેરિટી કમિશનર પાસે પણ વિગત માંગી છે. તેમજ શાળા પાસે તેમની મંજૂરીના કોઈ આધાર હોય તો પણ મંગાવવામાં આવ્યા છે. ફીની બાબતે સદર શાળા વધુ હોય એવું જાણવા મળ્યું છે પરંતુ, આધાર મળ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો યોગ્ય આધાર પુરાવા શાળાઓ રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવી પડે તો કરીશું અને તેથી રેગ્યુલેટરી કમિટીને પણ રિપોર્ટ કરીશું કે વધુ ફી ઉઘરાવવામાં આવી છે તેમજ દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:52 pm

રાજકોટમાં પરિણીતાના ગળામાંથી સોનાના મંગળસૂત્રની ચિલઝડપ:એપાર્ટમેન્ટના નવમા માળે સીડીની ગ્રીલ ઉપર રમતી વખતે પડી જતાં 10 વર્ષના બાળકનું મોત

રાજકોટ શહેરના કોઠારીયા રોડ આસોપાલવ સોસાયટી શેરી નંબર 2 પ્‍લોટ નં. 195માં રાંદલ કૃપા ખાતે રહેતાં કલ્‍પેશભાઇ ભેસાણીયાનો પુત્ર ક્રિશવ (ઉ.વ.10) પુનીતનગરમાં વૃંદાવન સીટી એપાર્ટમેન્‍ટ વીંગ એ-902માં પોતાના દાદાના ઘરે સાંજે 5.30 વાગ્‍યે હતો ત્‍યારે રમતી વખતે નવમા માળે લોખંડની ગ્રીલમાં લપસીયું ખાતો હતો. આ વખતે બેલેન્‍સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ક્રિશવને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ મારફત થતાં તાલુકા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ક્રિશવના પિતા કારખાનેદાર છે. ક્રિશવ તેનો એકનો એક દિકરો હતો અને ધોરણ 4માં અભ્‍યાસ કરતો હતો. રવિવારે રજા હોવાથી દાદાના ઘરે ગયો હતો ત્‍યારે રમતી વખતે આ ઘટના બની હતી. એકના એક સંતાનના મોતથી પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો છે. ચાલીને જતી પરિણીતાના ગળામાંથી સોનાના મંગળસૂત્રની ચિલ ઝડપ આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક સુંદરમ પાર્ક શેરી નંબર 3માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની લક્ષ્મીબેન ચંદનભાઈ ચૌહાણ (ઉ.વ.35) નામના પરિણીતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.11.01.2026ના સાંજના 5.30 વાગ્યા આસપાસ તેઓ પગપાળા ઘર પાસે આજીડેમ ચોકડી નજીક ચાલીને જતા હતા ત્યારે પાછળથી એક બાઈક આવ્યું હતું જેમાં બે શખ્સો સવાર હતા. આ બાઈક ચાલકે બાજુમાંથી બાઈક ચલાવી ઓચિંતા તેમના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરેલું મંગળસૂત્ર આંચકી લીધું હતું. મંગળસૂત્રમાં સોનાનું ચગદુ હતું જેની કિંમત રૂપિયા 7500 છે જેની ચીલઝડપ થતા મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચીલઝડપની આ ઘટના અંગે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી વધુ તપાસ હાથ ધરી છે. ATMમાંથી પૈસા ઉપાડી દેવાના બહાને કાર્ડ બદલાવી છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ATMમાંથી રૂપિયા ઉપાડી દેવામાં મદદ કરવાના બહાને કાર્ડ બદલાવી છેતરપીંડી આચર્યાના કેસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ઝોન 1 ટીમે મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતા અને મૂળ યુપીના વતની દીપકસિંગ સેગર (ઉ.વ.37)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સીતારામ સોસાયટી પાસે આવેલ રાજલક્ષ્મી સોસાયટી નજીક રેલવેના પાટા પાસે શ્રી રામ પ્લાસ્ટિક નજીક હોવાની માહિતી મળતા વોચ ગોઠવી તેને ઝડપી લઈ રૂ.24,000 રોકડ તથા 14 જેટલા ATM કાર્ડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા આવાજ એક બનાવમાં જગલેશ્વરમાં રહેતા સીદીકભાઈ જુણેજાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 03.07.2025ના રોજ તેઓ સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલ ATMમાં ગયા હોય ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેઓનું કાર્ડ મેળવી લઈ તેના વડે તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાવી છે. હાલ આ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:39 pm

મહિલાની પાછળ જઈને ચોરે સોનાનો દોરો તોડ્યો, CCTV:ખોખરામાં મહિલા પાછળ દોડતા ચોર ભાગ્યો, બાઈક પર ત્રણની ટોળકી આવી'તી

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. મહિલા સ્ટેશનરીની દુકાનેથી વસ્તુ લઈને તેમના ફ્લેટમાં જઈ રહ્યા હતા ત્યારે એક ચોર તેમની પાછળ પાછળ આવ્યો અને મોકો મળતા મહિલાઓના ગળામાં રહેલી સોનાનો દોરો તોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા ચોર ગભરાયો અને દોરો મુકીને પેન્ડલ લઈને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ખોખરા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. ધોળા દિવસે સોનાનો દોરો તોડી ભાગવાનો પ્રયાસખોખરા વિસ્તારમાં ગોરના કુવા પાસે આવેલા જીવન એપાર્ટમેન્ટમાં રહેતા સ્વાતિબેન દરજી ઘરકામ કરે છે. સ્વાતિબેન સવારના સમયે સ્ટેશનરીની દુકાને પેન લેવા ગયા હતા. સ્વાતિબેન પેન લઈને ફ્લેટમાં પરત આવી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીમાં તેઓ તેમના ફ્લેટની નીચે પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ તેમની પાછળ આવ્યો હતો. આ વ્યક્તિએ સ્વાતિબેનના ગળામાંથી સોનાનો દોરો તોડવાનો પ્રયત્ન કર્યો હતો. દોરો તૂટી ગયો અને પેન્ડલ નીચે પડ્યુંસ્વાતિબેને બૂમો પાડતા દોરો તૂટી ગયો અને પેન્ડલ નીચે પડી ગયું હતું. ત્યારે ચોર પેન્ડલ લઈને ત્યાંથી ભાગી ગયો હતો. સ્વાતિબેન પણ ચોરની પાછળ દોડ્યા હતા ચોર તેના અન્ય બે સાથીઓ પર પલ્સર બાઈક પર ત્યાંથી નાસી ગયો હતો.આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.ખોખરા પોલીસે અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:38 pm

એમ.જે લાઇબ્રેરીનું ડ્રાફ્ટ બજેટ રજુ:લાઇબ્રેરીમાં સેન્ટ્રલ AC લગાવવા 1.80 કરોડનો ખર્ચ થશે, પ્રચલિત- અલભ્ય પુસ્તકોને ડિજિટલ કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયનું વર્ષ 2026- 27નું 17 કરોડનું ડ્રાફ્ટ બજેટ ગ્રંથપાલ ડો. બિપીન મોદી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં મળેલી સભામાં આ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયને સંપૂર્ણપણે વાતાનુકુલીત કરવા માટે 1.80 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને નાસ્તા- ભોજન માટે પરિસરમાં હેરિટેજ પ્રકારની બેઠક વ્યવસ્થા (ગઝેબો) કરવા રૂ.10 લાખની જોગવાઈ કરાઈ છે. પુસ્તકાલયોમાં ઉપલબ્ધ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID સીસ્ટમથી સજ્જ કરવા રૂ.30 લાખની તેમજ E-Resources Subscribe કરવા 5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જુદા-જુદા કામો માટે પૈસા ફાળવણીની જોગવાઈ કરવામાં આવીમાણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયમાં પ્રચલિત અને અલભ્ય પુસ્તકોના ડિઝીટાઈઝેશન માટે 3 લાખ તેમજ પુસ્તકાલયની ડોક્યુમેન્ટરી બનાવવા માટે 5 લાખ નિયત કરવામાં આવ્યા છે. કારકિર્દી માર્ગદર્શન સંબંધિત પ્રેરણાદાયી કાર્યક્રમો માટે 3 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પુસ્તકાલયમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરવા માટે 5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સાહિત્યગોષ્ઠિ સાહિત્યપર્વના આયોજન માટે 10 લાખની અને સાંપ્રત સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર પરિસંવાદ કરવા માટે 1 લાખની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા આરોગ્ય જાગૃતિ વિષયક તેમજ મહિલા સશક્તિકરણ કાર્યક્રમોના આયોજન માટે 4 લાખની જોગવાઈ કરાઇ છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓના સંદર્ભે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રૂ.2 લાખની જોગવાઈ કરવામાં આવી છે. માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયોમાં વેબ પોર્ટલ, વેબ ઓપેક, કિ-ઓસ્ક મશીન, ઓટોમેશન અને મોબાઈલ એપના માધ્યમથી ઈશ્યુ-રિટર્ન, રિન્યુઅલ, રિઝર્વેશન, મેમ્બરશીપ જેવી સેવાઓ સભાસદોને ઓનલાઈન આપવામાં આવે છે. RFID કિ-ઓસ્ક મશીનની મદદથી સભાસદો પુસ્તક આપ-લે/ રીન્યુની સેવાઓ સ્વયં મેળવી શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:34 pm

સુરતમાં 6 કરોડની કિંમતનું કોબ્રાનું ઝેર પકડાયું:સાત આરોપીની ધરપકડ, અમદાવાદના સોની પાસેથી લવાયું હતું 6.5 ml ઝેર, રેવ પાર્ટીમાં થાય છે યુઝ

સુરત એસ.ઓ.જી. પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં લસકાણા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml કોબ્રા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5,85,00,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડપ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે. પોલીસે ગ્રાહક બની ગેંગ સાથે મિટિંગ ગોઢવીઆ ઓપરેશનની વિગત એવી છે કે, SOGના પી.આઈ. એ.પી. ચૌધરી અને પી.એસ.આઈ. આર.એમ. સોલંકીને માહિતી મળી હતી કે, એક ટોળકી સાપના ઝેરનો સોદો કરવા સુરત આવી રહી છે. આ ટોળકી અત્યંત ચાલાક હોવાથી પોલીસ અધિકારીઓએ પોતે જ ગ્રાહક બનીને છટકું ગોઠવ્યું હતું. આરોપીઓને કરોડો રૂપિયાની લાલચ આપી મિટિંગ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ ટોળકી સરથાણા જકાતનાકા પાસેના એક મેરેજ બ્યુરોની ઓફિસમાં ભેગી થઈ, ત્યારે પોલીસે ઓચિંતી રેઇડ કરી તમામને રંગેહાથ ઝડપી લીધા હતા. સાત આરોપીમાં 5 વડોદરાના અને બે સુરતનાધરપકડ કરાયેલા 7 આરોપીમાં સુરતના 2 અને વડોદરાના 5 શખસનો સમાવેશ થાય છે. જેમાં 67 વર્ષીય મનસુખ ઘીનૈયા, 60 વર્ષીય ચીમન ભુવા, 41 વર્ષીય સમીર પંચાલ, 74 વર્ષીય પ્રવીણ શાહ, 50 વર્ષીય કેતન શાહ, 54 વર્ષીય મકરંદ કુલકર્ણી અને 40 વર્ષીય પ્રશાંત શાહ સામેલ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું. આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ઈરાદો સફળ થઈ શક્યો નહીં. ઝેર પુરું પાડનાર અમદાવાદના સોનીની શોઘખોળઆ ઓપરેશન બાદ હવે સુરત પોલીસ આ ઝેરના સપ્લાય ચેઈનની ઊંડી તપાસ કરી રહી છે. ખાસ કરીને અમદાવાદના એ સોનીની શોધખોળ ચાલી રહી છે જેણે આ ઝેર પૂરું પાડ્યું હતું. ગુજરાતમાં આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થતા વન્યજીવ સુરક્ષા અને ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતા છે. કયો સાપ નશા માટે વપરાય છે?નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના રિપોર્ટ અનુસાર, ભારતમાં નશાના વ્યસનીઓ દ્વારા નશા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સાપના નામ નાજા નાજા એટલે કે કોબ્રા, બંગરસ કેરુલિયસ એટલે કે કોમન ક્રેટ અને ઓફિઓડ્રિસ વર્નાલિસ એટલે કે ગ્રીન સ્નેક છે. આ સિવાય જે લોકો ઓછા ઝેરી સાપનો નશો ઈચ્છે છે તેઓ દારૂ સાથે રેટ સ્નેક અને ગ્રીન બેલ સ્નેકનું ઝેર લેવાનું પસંદ કરે છે. નશામાં શા માટે સાપના ઝેરનો ઉપયોગ થાય છે?નશા માટે સાપના ઝેરના ઉપયોગ વિશે બહુ ચર્ચા નથી. જોકે એના કેસ પહેલા પણ આવતા રહ્યા છે. નિષ્ણાતો માને છે કે એનો ઉપયોગ એવા લોકો કરે છે જેઓ મોર્ફિન અને કોકેઈન જેવી નિયમિત દવાઓથી કંટાળી ગયા છે. જર્નલ ઓફ સાઇકોલોજિકલ મેડિસિન અનુસાર, જો સાપનું ઝેર ઓછી માત્રામાં લેવામાં આવે તો એની સાઇકોએક્ટિવ અસર થાય છે. એનો અર્થ એ કે તે માનવ ચેતાતંત્રને ધીમું કરે છે. કેટલાક અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કોબ્રાના ઝેરમાં મોર્ફિન ડ્રગ જેવો નશો હોય છે. જ્યારે સાપનું ઝેર શરીરમાં પ્રવેશે છે ત્યારે સક્રિય ચયાપચય, એટલે કે ખોરાકના પાચન પછી બનેલા પદાર્થો લોહીમાં મુક્ત થાય છે. એમાં સેરોટોનિન, બ્રેડિકિનિન, પેપ્ટાઇડ્સ, પ્રોસ્ટાગ્લાન્ડિન્સ અને અન્ય સમાન પદાર્થો છે. આ માનવ શરીરમાં ઊંઘ અને શાંત પ્રતિક્રિયાઓનું કારણ બને છે. સાપનું ઝેર બજાર કેવી રીતે કામ કરે છે?એક સમાચાર અનુસાર, એક ગ્રામ કોબ્રા ઝેરની કિંમત 4 હજાર રૂપિયાથી લઈને 26 હજાર રૂપિયા સુધીની છે. આ કિંમત નક્કી કરવા માટે વપરાયેલા માપદંડ એ છે કે કોબ્રા કેટલું ઝેરી છે. જેનું ઝેર વધુ ઝેરી હોય એની કિંમત વધારે હશે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કિંમતો વધુ વધે છે. ઉદાહરણ તરીકે, એક ગ્રામ સાપનું ઝેર 150 ડોલરથી વધુ એટલે કે લગભગ 10 હજાર રૂપિયામાં વેચાય છે. જ્યારે કિંગ કોબ્રા ઝેરના એક ગેલનની કિંમત લગભગ 1 લાખ 53 હજાર ડોલર છે. આ તમામ કિંમતો ગેરકાયદે રીતે દાણચોરી કરાયેલા સાપના ઝેરની છે. સાપના ઝેરનો વેપાર સમગ્ર વિશ્વમાં કાયદેસર અને ગેરકાયદે બંને રીતે ચાલે છે. કાયદેસર રીતે, સાપના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. ચીનમાં સાપની ખેતી અને વેપાર થાય છે. જિસિકિયાઓ નામનું એક ગામ છે, જ્યાં તેમનો ઉછેર થાય છે. એનું ઝેર પછી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વેચવામાં આવે છે. ચીન ઉપરાંત ભારત, મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં સાપના ઝેરનો ગેરકાયદે વેપાર મોટા પાયે થાય છે. સાપની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે દેશમાં બે કાયદા છે... ભારતમાં વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ 1972 ફોરેન ટ્રેડ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ 1992 નોઈડા પોલીસે એલ્વિશ યાદવ સામે વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટ 1972ની કલમ 9, 39, 48 એ, 49, 50, 51 અને આઈપીસીની કલમ 120-બી હેઠળ એફઆઈઆર પણ નોંધી છે. હકીકતમાં પીપલ ફોર એનિમલ્સ એટલે કે PFA નામની સંસ્થાએ સ્ટિંગ કરીને એલ્વિશના સાપ કનેક્શનનો ઘટસ્ફોટ કર્યો છે. PFA ઓર્ગેનાઈઝેશનના ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર, તેમને માહિતી મળી હતી કે એલ્વિશ યાદવ નોઈડા અને દિલ્હી NCRના ફાર્મહાઉસમાં સાપના ઝેર અને જીવંત સાપ સાથે રેવ પાર્ટીઓ કરે છે. આ પાર્ટીઓમાં વિદેશી યુવતીઓને બોલાવીને સાપનું ઝેર અને ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે. સંગઠને સ્થાનિક પોલીસ સાથે મળીને આ સમગ્ર મામલે સ્ટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સંપૂર્ણ આયોજન કર્યા પછી એલ્વિશનો સંપર્ક કરવામાં આવ્યો અને તેને નોઇડામાં રેવ પાર્ટીમાં કોબ્રા વેનોમની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું. એલ્વિશ પીએફએનો હેતુ સમજી શક્યો નહીં અને તેની જાળમાં ફસાઈ ગયો. એલ્વિશે તેને આ કામ માટે તેના એજન્ટ રાહુલને મળવાનું કહ્યું અને તેનો મોબાઈલ નંબર આપ્યો. તેણે કહ્યું, મારું નામ લઈને તેની સાથે વાત કરો. રાહુલ સાથે વાત કર્યા બાદ ગૌરવ ગુપ્તાએ રેવ પાર્ટીનું સ્થળ 2 નવેમ્બરે સેવરોન બેન્ક્વેટ હોલ, સેક્ટર-51માં નક્કી કર્યું. નોઈડા ફોરેસ્ટની ટીમને આ અંગે પહેલાંથી જ જાણ કરવામાં આવી હતી. તસ્કરો સમયસર સાપ સાથે ત્યાં પહોંચી જતાં સ્થાનિક પોલીસ અને વન વિભાગની ટીમે 9 જીવતા સાપ સાથે 5 લોકોને કસ્ટડીમાં લીધા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:30 pm

હિંમતનગર બેંકના ચેરમેન-વાઇસ ચેરમેનની 22 જાન્યુઆરીએ પસંદગી:ચૂંટાયેલા ડિરેક્ટરોની બેઠકમાં થશે નિર્ણય

હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી 22 જાન્યુઆરીએ થશે. 13 ડિરેક્ટરોની ચૂંટણી 11 દિવસ પહેલા પૂર્ણ થયા બાદ, હવે ચૂંટાયેલા ડિરેક્ટરોની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. બેંકની 13 બેઠકો માટેની ચૂંટણી ગત 11 જાન્યુઆરીના રોજ હિંમત હાઈસ્કૂલ સ્થિત મતદાન મથકમાં યોજાઈ હતી. તે જ દિવસે મોડી રાત્રે મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમ સમય મર્યાદામાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવાની હોય છે. આથી, નાગરિક બેંકના ચૂંટાયેલા 13 સભ્યોની ઉપસ્થિતિમાં 22 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યે બેંક ખાતે ડિરેક્ટરોની બેઠક યોજાશે. આ બેઠકમાં ચર્ચા-વિચારણાના અંતે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:28 pm

શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત

Maharashtra Political News : મુંબઈની સૌથી મહત્ત્વની ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા બાદ રાજકીય ગેમ શરૂ કરનારા એકનાથ શિંદે પોતાની જ જાળમા ફસાયા હોવા જેવી વાત સામે આવી છે. એક તરફ શિંદેએ મેયર પદને લઈ દાવપેચ શરૂ કર્યો છો, તો બીજીતરફ ભાજપે પણ થાણે મહાનગરપાલિકાને લઈ શિંદે જૂથને ચિંતામાં મુકી દીધા છે. ભાજપે શિંદેની જેમ જ થાણેમાં અઢી-અઢી વર્ષના કાર્યકાળની માંગ કરતા મુંબઈના રાજકારણમાં ફરી ગરમાવો શરૂ થઈ ગયો છે. ભાજપના દાવાથી શિંદે જૂથ ટેન્શનમાં થાણેમાં મેયર પદને લઈ ભાજપે શિંદેની શિવસેના જૂથ પાસે સ્પષ્ટ માંગ કરી છે કે, જો મહાયુતિ સરકાર ચલાવવી હોય તો મેયર પદ માટે ભાજપને પણ અઢી વર્ષનો કાર્યકાળ મળવો જોઈએ.

ગુજરાત સમાચાર 19 Jan 2026 7:20 pm

મતદાર યાદી સુધારણાની મુદત 30 જાન્યુઆરી સુધી વધારાઈ:દાવા–વાંધા રજૂ કરવા મતદારોનો સમય મળ્યો

1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના આધારે ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન – SIR) પ્રક્રિયા અંતર્ગત ભારતના ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે મતદાર યાદી સંબંધિત દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદા વધારીને હવે 30 જાન્યુઆરી 2026 સુધી કરી છે. દાવા અને વાંધાઓ રજૂ કરવા માટેનો સમય વધારાયોભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યભરમાં 27 ઓક્ટોબર 2025થી SIR ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશના ગણતરી તબક્કાની અસરકારક કામગીરી પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ મુસદ્દા યાદી સામે દાવા અને વાંધાઓ રજૂ કરવા માટે અગાઉ 18 જાન્યુઆરી 2026ને આખરી તારીખ તરીકે નક્કી કરવામાં આવી હતી. 30 જાન્યુઆરી સુધી મતદાર યાદીમાં સુધારણા કરી શકશોપરંતુ હવે ચૂંટણી પંચે સત્તાવાર સૂચના જાહેર કરીને આ સમયમર્યાદા વધારી દીધી છે. તેના પરિણામે રાજ્યના તમામ પાત્ર મતદારોને વધુ તક મળી છે અને તેઓ હવે 30 જાન્યુઆરી 2026, શુક્રવાર સુધી મતદાર યાદી સંલગ્ન દાવા અને વાંધાઓ રજૂ કરી શકશે. પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય ચૂંટણી પંચે આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં સામેલ ન થાય– તે સુનિશ્ચિત કરવું જ SIR ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે. આ રીતે અરજી કરી શકાશેમતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કાઢવા, વિગતોમાં સુધારા કે સરનામા બદલાવ સંબંધિત દાવા–વાંધાઓ માટે મતદારો પોતાના સંબંધિત બૂથ લેવલ અધિકારી (BLO) અથવા ચૂંટણી પંચના નિર્ધારિત માધ્યમો મારફતે અરજી કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:14 pm

સુરતમાં બોલિવૂડ અને સાઉથના 'સિંઘમ'નો દબદબો:સુપરસ્ટાર્સને જોવા એરપોર્ટ પર ફેન્સનું કીડિયારું ઉભરાયું, ISPLમાં બંને સ્ટાર્સ આપશે હાજરી

સુરતના આંગણે અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) એ ત્યારે વધુ રોમાંચક બની ગઈ જ્યારે બોલિવૂડના 'સિંઘમ' અજય દેવગન અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સુર્યા એકસાથે સુરત આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ફેન્સનું કીડિયારું ઉભરાયુંબંને સુપરસ્ટાર્સના આગમન સમાચાર વાયુવેગે ફેલાતા જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રશંસકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ચાહકો પોતાના મનપસંદ કલાકારોની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા. અજય દેવગન અને સુર્યા એરપોર્ટની બહાર નીકળતા જ ફેન્સે 'સિંઘમ-સિંઘમ'ના નારા લગાવીને તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સુરતીઓના આ પ્રેમ અને ઉત્સાહને જોઈને બંને કલાકારોએ પણ અભિવાદન ઝીલ્યું હતું. ISPLમાં સ્ટાર પાવરનો તડકોલાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ચાલી રહેલી ISPL ટુર્નામેન્ટમાં આ બંને સ્ટાર્સ હાજરી આપશે. અજય દેવગન ISPL માં અમદાવાદ લાયન્સ ટીમના માલિક પણ છે, તેઓ પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. ચેન્નઈ સિંઘમ ટીમના માલિક સુર્યા સાઉથના આ મેગાસ્ટારની હાજરીએ સાબિત કર્યું કે, રમત પ્રત્યેનો તેમનો પ્રેમ સીમાડાઓ ઓળંગે છે. બંને કલાકારો ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. સુરતના ખેલપ્રેમીઓ માટે આ એક દુર્લભ ક્ષણ હતી, જ્યાં હિન્દી અને તમિલ સિનેમાના બે સૌથી મોટા 'એક્શન હીરો' એક જ મંચ પર જોવા મળ્યા હતા. સુરત બન્યું સ્પોર્ટ્સ હબછેલ્લા કેટલાક સમયથી સુરત રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ્સનું કેન્દ્ર બની રહ્યું છે. ISPL જેવી લીગના કારણે સ્થાનિક પ્રતિભાઓને મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે, અને તેમાં પણ જ્યારે અજય દેવગન અને સુર્યા જેવા દિગ્ગજો જોડાય છે, ત્યારે આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા અને ભવ્યતા અનેકગણી વધી જાય છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:11 pm

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૂચવેલા નવા સંગઠન માળખામાં 106 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં 79 કારોબારી સભ્યો તેમજ 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિતના (એક પ્રદેશ અધ્યક્ષ+105 સભ્યો)કુલ 106 લોકોની પ્રદેશ કારોબારી હોય છે. મહત્વનું છે કે પ્રદેશ કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્યોમાં ભાજપના જૂના જોગીઓને સ્થાન આપવામાં આવ્યું છે: જેમાં રાજકોટ શહેરમાં વજુભાઈ વાળા, ભાવનગર શહેરમાં રાજેન્દ્રસિંહ રાણા, અમરેલીમાં પરશોત્તમભાઈ રૂપાલા, જામનગર જિલ્લામાં આર. સી. ફળદુ, મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, અમદાવાદ જિલ્લામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કર્ણાવતીમાં સુરેન્દ્રભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, નરહરિભાઈ અમીન સહિત 26 આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર 19 Jan 2026 7:07 pm

રખડતી ગાયોની AIથી ઓળખ થશે:અમદાવાદમાં CCTV+આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો પાયલટ પ્રયોગ, ગાયના ‘નાક-ફિંગરપ્રિન્ટ’થી માલિક સુધી પહોંચશે AMC

સ્માર્ટ શહેર માટે સ્માર્ટ ઉપાય અપનાવવાની દિશામાં ગુજરાત સરકાર વધુ એક ટેક્નોલોજી આધારિત પહેલ કરવા જઈ રહી છે. શહેરોમાં રખડતી ગાયોના કારણે થતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોને અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વિસ્તારમાં CCTV અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની તૈયારી શરૂ થઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાયના નાક, આંખો અને ચહેરાની રચનાને આધારે તેની યુનિક બાયોમેટ્રિક ઓળખ કરવામાં આવશે અને સીધા તેના માલિક સુધી માહિતી પહોંચાડવામાં આવશે. રખડતા પશુઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને AIનો ઉપયોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ શાસન વ્યવસ્થામાં AIનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે. નાગરિક સેવાઓને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવવા માટે AI આધારિત સ્માર્ટ ગવર્નન્સ તરફ સરકાર સતત આગળ વધી રહી છે. આ દિશામાં અમદાવાદમાં રખડતા પશુઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રખડતી ગાયોને ઓળખવા માટે AMC દ્વારા CCTV કેમેરાની મદદથી તસવીરોહાલમાં અમદાવાદમાં રખડતી ગાયોને ઓળખવા માટે AMC દ્વારા CCTV કેમેરાની મદદથી તસવીરો લેવામાં આવે છે અને ગાયમાં લાગેલી RFID ટેગ તથા માઇક્રોચીપના આધારે તેની ઓળખ કરવામાં આવે છે. જોકે, આ પ્રક્રિયા મેન્યુઅલી થતી હોવાથી સમય અને માનવશક્તિનો મોટા પાયે વ્યય થાય છે. આ મુશ્કેલી દૂર કરવા માટે હવે AI આધારિત ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ગિફ્ટ સિટીમાં સ્થિત AI સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા પહેલગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્થિત AI સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક નિષ્ણાત એજન્સીને ડીપ લર્નિંગ આધારિત AI મોડેલ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એજન્સી દ્વારા તૈયાર થતું આ મોડેલ CCTV કેમેરાથી મળતી રિયલ ટાઇમ તસવીરોનું વિશ્લેષણ કરશે અને ગાયને ભીડમાંથી ચોક્કસ રીતે ઓળખી લેશે. તમામ માહિતી ડેટાબેઝ સાથે મેચ કરીને ગાયના માલિકની વિગતો મેળવાશેઆ AI મોડેલની ખાસિયત એ છે કે ગાયના નાકની રચનાને મુખ્ય ઓળખ તરીકે લેવામાં આવશે. જેમ માનવીના ફિંગરપ્રિન્ટ યુનિક હોય છે, તેમ દરેક ગાયના નાકની ડિઝાઇન પણ અલગ હોય છે. સાથે સાથે ગાયની આંખો, ચહેરા પરના નિશાન અથવા દાગની પણ સ્કેનિંગ કરવામાં આવશે. આ તમામ માહિતી ડેટાબેઝ સાથે મેચ કરીને ગાયના માલિકની વિગતો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. 1.10 લાખ ગાયોમાં RFID ટેગ અને માઇક્રોચીપ લગાવાઈઅમદાવાદ શહેરમાં હાલમાં અંદાજે 1.10 લાખ ગાયોમાં RFID ટેગ અને માઇક્રોચીપ લગાવવામાં આવી છે અને તેનો ડેટાબેઝ AMC પાસે ઉપલબ્ધ છે. શહેરના લગભગ 130 મહત્વપૂર્ણ જંક્શનો પર CCTV કેમેરા કાર્યરત છે. આ કેમેરાથી મળતા ડેટાને AI મોડેલ સાથે જોડીને રખડતી ગાયોની ઓળખ પ્રક્રિયા વધુ ઝડપી અને અસરકારક બનશે. ડેટા આધારિત મોનીટરિંગ સિસ્ટમ આ પાયલટ પ્રોજેક્ટ સફળ થાય તો રખડતી ગાયોના કારણે થતી ટ્રાફિક સમસ્યા, અકસ્માતો અને જાહેર અસુવિધાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. સાથે સાથે ડેટા આધારિત મોનીટરિંગ સિસ્ટમ ઉભી કરીને જાહેર સુરક્ષા વધારવાનો અને સ્માર્ટ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:04 pm

રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:યુવતીએ બોયફ્રેન્ડને ફોન કરી બાદમાં પાંચમા માળેથી છલાંગ લગાવી, યુવકે ગળેફાંસો ખાઈ અને પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના ત્રણ બનાવ સામે આવ્યા છે. રાજકોટના કટારીયા ચોક નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતી યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ફોનમાં વાત કર્યા બાદ પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી અને 40 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ તેમજ 30 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ પાંચમા માળેથી છલાંગ લગાવી કરી આત્મહત્યા પલક નિલેશભાઈ ઝાલા (ઉં.વ.24) ગઈકાલે બપોરે 3 વાગ્યાં આસપાસ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર ખાતે પોતાના ઘરે પાંચમા માળે હતી ત્યારે પડતું મુકતા ગંભીર ઇજા થઈ હતી તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં પલક બપોરે પોતાના માતાને કહ્યું કે, હું તડકો ખાવા અગાશી પર જાવ છું પછી તેના બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી હતી અને ત્યારબાદ પગલું ભર્યું હતું તેના બોયફ્રેન્ડના તાજેતરમાં જ લગ્ન થવાના છે જેથી આ પગલું ભર્યાંની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક પલક બે બહેનમાં મોટી હતી પિતા હયાત નથી પોતે પ્રાઈવેટ નોકરી કરી પરીવારને આર્થીક મદદ કરતી હતી તેના મોતથી પરિવારમાં શોક છવાયો છે. યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા ભાવેશભાઈ નાગજીભાઈ સંઘાણી (ઉં.વ.40) ગઈકાલે બપોરે 2.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી સ્થળ પર પહોંચી 108ના ઈએમટીએ ભાવેશભાઈને મૃત જાહેર કરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક લેબ ટેક્નિશિયન હોવાનું અને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. ક્યાં કારણોસર આ પગલું ભરી લીધુ તે સામે ન આવતા ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા બંસી કેવિનભાઈ રૈયાણી (ઉં.વ.30) ગઇ તા.15.01.2026ના સાંજના 7 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ઉલ્ટી કરવા લાગી હતી. પતિએ પૂછતાં પોતે ઘઉંમા નાખવાનો ઝેરી પાઉડર પી લીધાનું જણાવ્યું હતું તેને વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ભક્તિનગર પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી પુછપરછ કરતા મૃતક બંસીના લગ્ન પાંચ વર્ષ પહેલા કેવિન જેન્તીભાઈ રૈયાણી સાથે થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. હાલ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:59 pm

EDએ 14 વ્યક્તિઓ સહિત મેજિકવિન વેબસાઇટ સામે ફરિયાદ નોંધાવી:2024ના T20 મેન્સ વર્લ્ડકપનું અનધિકૃત પ્રસારણ અને સટ્ટાબાજી, બે પાકિસ્તાની ડિરેક્ટર્સ UAEમાં

ED અમદાવાદે મેજિકવિન વેબસાઇટ અને અન્ય સામેના સટ્ટાબાજીના મામલે પ્રિવેન્શન ઓફ લોન્ડ્રિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ અમદાવાદ સ્થિત ED કેસોની વિશેષ અદાલત સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં કુલ 14 વ્યક્તિઓ અને સંસ્થાઓને આરોપી બનાવવામાં આવ્યા છે. વેબસાઈટે 2024ના ક્રિકેટ મેચોનું અનધિકૃત રીતે પ્રસારણ કર્યું ઈડીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ દ્વારા મેજિકવિન વેબસાઇટના માલિકો અને અન્ય સામે ભારતીય દંડ સંહિતા, કૉપિરાઇટ અધિનિયમ અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ હેઠળ નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરી હતી. તેમાં આરોપ છે કે આ લોકોએ ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024ના ક્રિકેટ મેચોનું અનધિકૃત રીતે પ્રસારણ કર્યું હતું. જેના અધિકારો ICC દ્વારા સ્ટાર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યા હતા. મેજિકવિન વેબસાઇટમાં મેચોની લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોરકાર્ડ મેજિકવિન એક એવું બેટિંગ એક્સચેન્જ છે, જે વેબસાઇટ અને મોબાઇલ એપ મારફતે તમામ પ્રકારની સ્પોર્ટ્સ બેટિંગ અને મનોરંજન સંબંધિત સટ્ટાના કાર્યો કરે છે. મેજિકવિન લાઇવ કૅસિનોની સુવિધા આપે છે, જ્યાં ત્રણ પત્તી, રૂલેટ, પોકર વગેરે જેવા અનેક રમતો રમાઈ શકે છે. આ તમામ રમતો જગ્યાઓ લાઇવ ડીલર્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. મેજિકવિન પર સ્પોર્ટ્સ બેટિંગમાં ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ અને હોર્સ રેસિંગ જેવા તમામ મુખ્ય ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં અત્યંત આકર્ષક માર્કેટ વિકલ્પો ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓ બેટ લગાવતી વખતે મેચોની લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોરકાર્ડ પણ જોઈ શકે છે. બે પાકિસ્તાની ડિરેક્ટર્સ UAEમાંમેજિકવિન વેબસાઇટની માલિકી મેજિકવિન સ્પોર્ટ્સ લિમિટેડ પાસે છે, જે યૂનાઇટેડ કિંગડમમાં નોંધાયેલ કંપની છે. તેના ડિરેક્ટર્સ ગુલાબ હરજી મલ અને ઓમેશ કુમાર ગુરનાની છે, જે બંને પાકિસ્તાની નાગરિકો છે અને સંયુક્ત UAE માં રહે છે. સટ્ટાબાજી માટે ફર્જી બેંક ખાતાઓનો ઉપયોગ કરે છેEDની તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે મેજિકવિન ઓનલાઇન સટ્ટાબાજી માટે જમા અને ઉપાડ માટે ફર્જી બેંક ખાતાઓનો ઉપયોગ કરે છે. કેટલાક કિસ્સાઓમાં સટ્ટેબાજોને ઉપાડની રકમ નાણાં ટ્રાન્સફર સેવાના માધ્યમથી ચૂકવવામાં આવી હતી. આપત્તિજનક દસ્તાવેજો સાથે 2.50 કરોડની રકમ જપ્તઆ પહેલા EDએ આ મામલે તપાસ અભિયાન ચલાવ્યું હતું અને ડિજિટલ ઉપકરણો સહિત અનેક અન્ય આપત્તિજનક દસ્તાવેજો સાથે લગભગ 2.50 કરોડની રૂપિયાની રકમ જપ્ત કરી હતી. અનેક પ્રખ્યાત હસ્તીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે મેજિકવિનની જાહેરાત પણ કરી હતી. ઉપરાંત આવી સટ્ટાબાજી પ્રવૃત્તિઓમાંથી પ્રાપ્ત થયેલી રકમ હવાલા અને ક્રિપ્ટોકરન્સી મારફતે પણ મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:59 pm

આવતીકાલે જનરલ બોર્ડમાં તડાફડીનાં એંધાણ:રૂ. 200 કરોડની લોન, શાળા નંબર 99 સહિતના મુદ્દે વિપક્ષ શાસકોને ઘેરશે, ડેપ્યુટી સેક્રેટરીની ખાલી જગ્યા મુદ્દે સસ્પેન્સ

રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે 20 જાન્યુઆરીએ મળનારી દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક તોફાની બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 20 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી શાળા નં. 99 અને ફ્લાવર બેડના વિવાદિત મુદ્દે વિપક્ષી સભ્યો સભા ગજવશે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત ઇસ્ટઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર થયેલા હુમલા બાદ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ખાતરી આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા વિપક્ષનાં નગરસેવક મકબુલ દાઉદાણીએ આ મુદ્દે તીખા સવાલો ઉઠાવ્યા છે. જનરલ બોર્ડમાં પ્રથમ 1 થી 5 ક્રમે શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોના પ્રશ્નો હોવાથી વિપક્ષને બોલવાની તક ઓછી મળે તેવી નીતિ અપનાવાય તેવી ચર્ચા છે. છતાં વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈ જેવા સભ્યો શિક્ષણ અને ટીપી વિભાગની કામગીરી મુદ્દે આક્રમક તેવર બતાવશે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રૂ. 200 કરોડની લોન લેવાની દરખાસ્ત તેમજ સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવા સહિતની 12 દરખાસ્તો પર પણ આ બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. ડેપ્યુટી સેક્રેટરીની ખાલી જગ્યા માટે હજુ સુધી કોઈ સત્તાવાર દરખાસ્ત ન આવતા આ મામલે પણ સસ્પેન્સ યથાવત છે. રાજકોટ મનપાનાં ચોપડે રોગચાળો કાબુમાં, સીઝનલ કેસમાં 15% ઘટાડો રાજકોટ શહેરમાં હાલ મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, તેમ છતાં આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં રહ્યો છે. મેલેરીયા શાખા દ્વારા જાહેર કરાયેલા 12-1 થી 18-1 ના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર, શહેરમાં ડેંગ્યુ, મેલેરીયા કે ચીકનગુનીયાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ, સીઝનલ રોગચાળાના કેસોમાં પણ રાહત જોવા મળી છે. છેલ્લા અઠવાડિયામાં સીઝનલ શરદી-ઉધરસના 947, સામાન્ય તાવના 625, ઝાડા-ઉલ્ટીના 179 અને કમળાનો 1 કેસ મળી કુલ 1752 દર્દીઓ નોંધાયા છે. અગાઉના અઠવાડિયાની સરખામણીએ આ આંકડામાં 15% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. રોગચાળાને ડામવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારની તપાસ દરમિયાન મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળી આવતા 180 રહેણાંક અને 41 કોમર્શિયલ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. મચ્છરના નાશ માટે 17436 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 332 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. 1081 ક્લોરીન ટેસ્ટ પણ પાણીજન્ય રોગચાળો અટકાવવા કરવામાં આવ્યા હતા. ઘનશ્યામનગરમાં રખડતા શ્વાનનો આતંક, એક દિવસમાં બે વ્યક્તિને બટકા ભર્યા રાજકોટના ક્રિસ્ટલ મોલ પાછળ આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં એક જ દિવસમાં શ્વાને 2 લોકોને બચકા ભરીતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ઘનશ્યામનગરના સન સ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતા ઇલાબેન નામના મહિલા ગત સપ્તાહે શ્વાનનો શિકાર બન્યા હતા, જેના કારણે તેમણે સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન લેવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે ઇલાબેનને કરડ્યાના થોડા સમય બાદ શ્વાને અન્ય એક રાહદારીને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 મહિનામાં આ વિસ્તારમાં 5 લોકોને શ્વાને બચકા ભર્યા છે, જેમાં એપાર્ટમેન્ટના વોચમેન અને તેના 4 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે આ અંગે 6 મહિના પૂર્વે ઓનલાઇન ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. એક જ સોસાયટીમાં વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે તંત્રની નબળી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:54 pm

ઉમરગામમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ:સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી કૃત્ય આચરનાર આરોપીની ધરપકડ, સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળતા પરિવાર ચોંક્યો

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી લગ્નની લાલચ આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે. ઘટનાની વિગત મુજબ, ઉમરગામ વિસ્તારમાં રહેતી સગીરાની તબિયત બગડતા તેની માતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ત્યારબાદ દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આ મામલે સગીરાની માતાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી રોહિત સંતોષ યાદવ (રહે. ઉમરગામ, મૂળ ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી હતી. આરોપીનું મેડિકલ કરાવી નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સગીરાના પાડોશમાં રહેતો હતો. તેણે સોશિયલ મીડિયા મારફતે સગીરાનો સંપર્ક કર્યો હતો અને મિત્રતા કેળવી હતી. સતત વાતચીત કરીને સગીરાને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. આ ઘટનાને પગલે DySP બી.એન. દવેએ વાલીઓને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વાલીઓએ પોતાના સંતાનોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર નજર રાખવી જોઈએ. અજાણ્યા લોકો સાથેના સંપર્ક બાબતે સાવચેતી રાખવા અને સમયાંતરે એકાઉન્ટની તપાસ કરતા રહેવા પણ તેમણે સૂચન કર્યું હતું. હાલ ઉમરગામ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:53 pm

બોટાદમાં સંવેદનશીલ વિસ્તારો નજીક ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ:કોર્ટ, સાળંગપુર અને ગઢડા મંદિર સહિત જિલ્લાના 58 સ્થળો રેડ અને યલો ઝોન જાહેર

બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારો અને સંસ્થાઓ નજીક પરવાનગી વગર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ. ઝણકાત દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત જિલ્લાના કુલ 58 સ્થળોને રેડ અને યલો ઝોન તરીકે જાહેર કરાયા છે. આમાં સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ થાય છે. આમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, BAPS સ્વામિનારાયણ મંદિર (સાળંગપુર અને ગઢડા), ગઢડા ગોપીનાથજી મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર અને પાળીયાદ વિસામણ બાપુની જગ્યા જેવા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બોટાદ, બરવાળા અને ગઢડાના ટેલિફોન એક્સચેન્જ, ઉતાવળી, સુખભાદર, ભીમદાદ સહિતના મોટા ડેમ, પમ્પિંગ સ્ટેશન, હોસ્પિટલો, કોર્ટ, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને વીજળી સબ-સ્ટેશન જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓ પણ આ ઝોનમાં સામેલ છે. આ પ્રતિબંધ 20 જાન્યુઆરી, 2024થી 20 માર્ચ, 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:53 pm

સાયબર ફ્રોડ, 3 રાજ્યમાં 7.66 કરોડની ઠગાઈનો પર્દાફાશ:બોરસદ પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો, 13 મ્યુલ એકાઉન્ટ મળ્યા

બોરસદ ટાઉન પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત સાયબર ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં મહારાષ્ટ્ર, આસામ અને પશ્ચિમ બંગાળમાં થયેલી કુલ 7.66 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આ કેસ બોરસદના ગણેશ નગર સોસાયટીમાં રહેતા હરીરામ ગંગારામ ડુંગરાજી પ્રજાપતિ સાથે થયેલી છેતરપિંડીથી શરૂ થયો હતો. 24 ઓક્ટોબર 2025 થી 29 ઓક્ટોબર 2025 દરમિયાન, એક વ્યક્તિએ પોતાને આર્મીમાં હોવાનું જણાવી અને જૂના સિક્કા-નોટોના બદલામાં વધુ પૈસા આપવાની લાલચ આપી હતી. હરીરામ પ્રજાપતિ પાસેથી ફોન પે દ્વારા પંજાબ નેશનલ બેંકના ખાતામાં 61,548 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. હરીરામ પ્રજાપતિએ બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે તપાસ હાથ ધરી હતી. આર્મી મેન તરીકે ઓળખ આપનાર રાજકોટના શૈલેષ અમરશીભાઈ જાદવભાઈ લુણાગરીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રિમાન્ડ મેળવીને તેની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, શૈલેષ લુણાગરીયા પાસેથી 13 મ્યુલ બેંક એકાઉન્ટની વિગતો મળી હતી, જેમાં 5.30 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મ્યુલ એકાઉન્ટ્સ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP - 1930) પર મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને આસામના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી ચાર ફરિયાદો સાથે સંકળાયેલા હતા.આ એકાઉન્ટ્સના આધારે કુલ 7,66,00,568 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. બોરસદ પોલીસે સાયબર ફ્રોડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:49 pm

જુના તવરાના યુવાનોએ 50 હજાર પરત કર્યા:પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ભરૂચના જુના તવરા ગામના બે યુવાનોએ 50 હજાર રોકડા પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જુના તવરા ગામના જશુ મંગળભાઈ ઠાકોરના ગત શુક્રવારના રોજ તેમનાં ખિસ્સામાંથી રોકડા રૂપિયા 50 રોકડા પડી ગયા હતા.આ રોકડા 50 હજાર ગામના જ યુવાનોને મળતા તેઓએ આજે પરત કર્યા હતા. ગામના સામાજિક અગ્રણી પૃથ્વીરાજસિંહ પરમારની હાજરીમાં બન્ને યુવાનો મહેશ રમણભાઈ વસાવા અને નિકુંજ મણીલાલભાઈ પ્રજાપતિએ રોકડ 50,000 જશુભાઈને પરત આપ્યા હતા. જશુભાઈ સહિત સમગ્ર ગ્રામજનોએ બંને યુવાનોની પ્રમાણિકતાને વખાણી તેની સરાહના કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:48 pm

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની જાહેરાત:79 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું, 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરાયો; જુઓ લિસ્ટ

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ કારોબારીમાં કારોબારી સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની આજે 19 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રવકતા ડો.અનિલ પટેલે જણાવ્યુ હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજરોજ પ્રદેશ કારોબારી સભ્યોની તેમજ પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની સંગઠનાત્મક નિમણુંકોની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિતના કુલ 106 લોકોની પ્રદેશ કારોબારી હોય છે. જે પૈકીના પ્રદેશ હોદ્દેદારોની આ અગાઉ જાહેરાત કરી દેવામાં આવી છે અને પ્રદેશ કારોબારીના બાકી રહેતા સભ્યોની સંગઠનાત્મક નિમણુંક કરવામાં આવી છે. આ સાથે પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:47 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બનાસકાંઠાની મુલાકાતે:વિરમપુરમાં રાત્રી રોકાણ કર્યું, પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામની મુલાકાત લીધી હતી. તેમણે કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. વહેલી સવારે રાજ્યપાલએ ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને જાતે ઝાડૂ લઈને સફાઈ કરી હતી. તેમણે શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ સાથે નાસ્તો કર્યો હતો અને તેમને ભણી ગણીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમના વરદ હસ્તે વિદ્યામંદિર અને તાલીમ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. સંવેદના ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આદિવાસી બહેનો દ્વારા તૈયાર કરાયેલા જંગલની જડીબુટ્ટીના સાબુના સ્ટોલ તેમજ પ્રાકૃતિક ખેતીના સ્ટોલની મુલાકાત લઈ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે “નિષ્કામ કર્મયોગી શંકરભાઈ પટેલ” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જે તેમના નિષ્કામ સેવાભાવ અને સમાજ પ્રત્યેના યોગદાનને ઉજાગર કરે છે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંવેદના ટ્રસ્ટના પદાધિકારીઓ હસમુખ પટેલ અને જીતુ પટેલ, જ્યોતિ ટ્રસ્ટના તંત્રી ડૉ. મિહિર જોશી, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર ડૉ. હર્ષદ પટેલ ઉપરાંત રાજ્ય તથા વિસ્તારના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંવેદના ટ્રસ્ટના પદાધિકારીઓએ આ વિસ્તારના જીવન પરિવર્તનમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું હોવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. તેમણે હસમુખ પટેલ, શંકર પટેલ તથા તેમની સમગ્ર ટીમે આદિવાસી ભાઈ-બહેનોના જીવનને સમર્પિત થઈ કરેલી સેવાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમના પ્રયત્નોથી સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ છે. શિક્ષણથી જ સમાજની પ્રગતિ શક્ય બને છે તેમ જણાવી, શિક્ષણધામની વ્યવસ્થા માટે યોગદાન આપનાર શ્રી ભગુભાઈ પટેલ તથા મીનાક્ષીબહેનને અભિનંદન પાઠવ્યા હતા. “હું નહિ, પરંતુ સૌ સુખી રહે” એવી વૈદિક વિચારધારામાંથી જન્મતી માનવતાને ઈશ્વર પ્રાપ્ત કરવાનો સાચી માર્ગ તરીકે દર્શાવી, આ દિશામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા બદલ રાજ્યપાલશ્રીએ સમસ્ત સંવેદના ટ્રસ્ટને સાધુવાદ પાઠવ્યો હતો. ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કરતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. જીવામૃત છાંયડા અથવા વૃક્ષની નીચે બનાવવામાં આવે તો તેમાં રહેલા બેક્ટેરિયા લાંબા સમય સુધી સક્રિય રહે છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, જંગલમાં કોઈ યુરિયા ખાતર નાખતું નથી છતાં ત્યાં વૃક્ષો લીલાછમ રહે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં એક એકર જમીનમાં ઓછામાં ઓછું બે ટન ઘન જીવામૃત આપવું અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું, જેના પરિણામે ઉત્પાદન ઘટતું નથી પરંતુ વધે છે અને બંજર જમીન પણ ફળદ્રુપ બને છે. રાજ્યપાલએ ખેડૂતોને થોડી-થોડી શરૂઆત કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની, મલ્ચિંગ તથા મલ્ટીક્રોપ પદ્ધતિથી એક સાથે એકથી વધુ પાક લેવાની સલાહ આપી હતી. તેમજ અગ્નિઅસ્ત્ર, નીમાસ્ત્ર અને ખાટી છાશના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે અને જમીન લાંબા સમય સુધી જીવંત રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. આગામી પેઢીની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જણાવતાં રાજ્યપાલએ તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સતત ત્રણ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને સરકાર તરફથી વિશેષ સહાય આપવામાં આવશે તેમ જણાવી તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે.”

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:45 pm

દ્વારકામાં વસઈ ગામે એરપોર્ટ સર્વે શરૂ થતા ખેડૂતો રોષે:જમીન આપવાનો વિરોધ, અન્ય સ્થળે બનાવવા માંગ

યાત્રાધામ દ્વારકા ખાતે વધતા યાત્રાળુઓ અને પ્રવાસનને વેગ આપવા માટે સરકાર દ્વારા એરપોર્ટ બનાવવાની યોજના છે. આ માટે વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામની આશરે 800 એકર જમીનની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટનો સ્થાનિક ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વસઈ અને આસપાસના વિસ્તારોમાં મીઠા પાણીની ઉપલબ્ધતા છે અને જમીન અત્યંત ફળદ્રુપ છે. આ વિસ્તારની ખેતી દ્વારકા તાલુકાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. જો અહીં એરપોર્ટ બને તો હજારો ખેડૂતો બેરોજગાર બની શકે છે, જેનાથી સામાજિક રીતે પણ ગંભીર અસરો પડી શકે છે. આજે વસઈ ખાતે દ્વારકા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓએ આગલા દિવસે સાંજે સરપંચને ફોન કરીને મીટિંગ માટે સૂચના આપી હતી, પરંતુ મીટિંગ કરવાને બદલે પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં કોઈ મંજૂરી વિના સર્વે શરૂ કરી દેવાયો હતો. આના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે તંત્ર પર બળજબરીપૂર્વક સર્વે કરવાનો આરોપ લગાવ્યો હતો. ખેડૂતો કોઈપણ ભોગે પોતાની જમીન આપવા તૈયાર નથી અને તેમની માંગ છે કે એરપોર્ટ અન્ય કોઈ બિનઉપજાઉ અથવા પડતર જમીન પર બનાવવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર આ સમસ્યાનું સમાધાન નહીં કરે તો આગામી દિવસોમાં તેઓ સંગઠિત થઈને કોર્ટના દ્વાર ખખડાવશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:42 pm

ઘી, દહીં અને ગોળના 6 નમૂના 'સબસ્ટાન્ડર્ડ' જાહેર:ખાદ્ય પદાર્થોમાં વનસ્પતિ ફેટની હાજરી, જ્યોતિરાદિત્ય ફૂડ્સ અને અક્ષર ઘી સહિતના એકમો વિરુદ્ધ કાર્યવાહી

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડે. કમિશનર (હેલ્થ અને હોસ્પિટલ) તથા ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી સૂચના હેઠળ ડિસેમ્બર માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પૃથ્થકરણ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, સુરતની વિવિધ સંસ્થાઓમાંથી લેવાયેલા ઘી, દહીં અને ગોળના કુલ 6 નમૂનાઓ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006’ના ધારાધોરણ મુજબ ફેઇલ જાહેર કરવામાં આવ્યા છે. અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સાવલીયાના ભેંસના ઘીમાં પણ ભેળસેળતપાસ દરમિયાન સૌથી વધુ ગંભીર બાબત ઘીના નમૂનાઓમાં જોવા મળી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્ટ્સના ટેબલ માર્ગેરીન અને ડભોલી ચાર રસ્તા પાસેની અક્ષર ઘી સંસ્થાના ઘીના નમૂનામાં ‘Beta-Sitosterol’ની હાજરી જોવા મળી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘીમાં આ તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિ તેલ કે ફેટની ભેળસેળ કરવામાં આવી છે. આ ઉપરાંત, લસકાણા સ્થિત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સાવલીયાના ભેંસના ઘીમાં પણ આ જ પ્રકારે ભેળસેળ હોવાનું લેબોરેટરીમાં સાબિત થયું છે. હોટેલ મે. આકાશ હોટેલ્સ પ્રા.લી.ના દહીના નમૂના ફેલરેલવે સ્ટેશન સામે આવેલી જાણીતી હોટેલ મે. આકાશ હોટેલ્સ પ્રા.લી.માંથી લેવામાં આવેલા દહીંના નમૂનામાં ફેટનું પ્રમાણ નિર્ધારિત ધારાધોરણ કરતા ઓછું મળી આવ્યું છે, જેના કારણે તેને પણ 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે મોટા ગ્રાહક વર્ગ ધરાવતી સંસ્થાઓમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાતી નથી. ગોળમાં પણ ભેલસેળ હોવાનું સામે આવ્યુંમિઠાઈ અને અન્ય વાનગીઓમાં વપરાતા ગોળમાં પણ ભેળસેળનો ખેલ સામે આવ્યો છે. બમરોલીના ન્યુ ધનલક્ષ્મી જનરલ એન્ડ કિરાણા સ્ટોરના સફેદ ગોળમાં અને વેસુના ક્રિષ્ણા સુપર સ્ટોરના ગોળમાં સિન્થેટિક કલરનું પ્રમાણ મળી આવ્યું છે. ગોળને આકર્ષક દેખાડવા માટે કરવામાં આવતો આ કલરનો વપરાશ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. સંબંધિત વેપારીઓ અને સંસ્થાઓને નોટિસ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જે સંસ્થાઓના નમૂના ફેઈલ થયા છે તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ-2006 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે સંબંધિત વેપારીઓ અને સંસ્થાઓને નોટિસ આપીને આગળની ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:35 pm

જામનગરવાસીઓને હવે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે:શહેરમાં પ્રથમ 6-લેન રોડને મંજૂરી, 34.32 કરોડના ખર્ચે ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી રોડ બનશે

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં પ્રથમ 6-લેન રોડ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. કુલ 34.32 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના 6-લેન આસફાલ્ટ રોડ માટે 15.02 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આ 6-લેન રોડ ઓશવાળ સેન્ટર, પાયલોટ બંગલા અને ખોડિયાર કોલોની થઈને દિગ્જામ સર્કલ સુધી લંબાશે. આ વિસ્તાર જામનગરમાં સવાર-સાંજ ભારે ટ્રાફિકનો અનુભવ કરે છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. શહેરમાં પ્રથમ વખત 6-લેન રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને ઓશવાળ સેન્ટરથી ખોડિયાર કોલોની મેઈન રોડ પરના સતત ટ્રાફિકથી લોકોને કાયમી રાહત મળશે. આ યોજનાને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા અને કમિશનર ડી.એન. મોદી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:34 pm

અમરેલીમાં પાણીવેરા વસૂલાત પ્રોત્સાહન યોજના:50 ટકાથી વધુ વસૂલાત બદલ રૂ. 57.35 લાખનો ચેક અપાયો

અમરેલી જિલ્લામાં પાણીવેરા વસૂલાત પ્રોત્સાહન યોજના અંતર્ગત ₹57.35 લાખથી વધુનો ચેક જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાને સુપરત કરવામાં આવ્યો. આ રકમ વર્ષ 2024-25માં 50 ટકાથી વધુ પાણીવેરા વસૂલાત કરનાર ગ્રામ પંચાયતો અને સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન રૂપે આપવામાં આવી છે. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ આ યોજના અમલમાં છે. તેનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાની પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક સંચાલન કરવું, માળખું સુદ્રઢ બનાવવું, પાણીવેરાની વસૂલાતમાં નિયમિતતા લાવવી અને ગ્રામ પંચાયતોને સક્ષમ બનાવવાનો છે, જેથી લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે. આ યોજના અંતર્ગત, અમરેલી જિલ્લામાં 0 થી 30 ટકા વસૂલાતવાળી કુલ 101 ગ્રામ પંચાયતોને ₹57,05,742 અને એક સ્વ-સહાય જૂથને ₹30,000 એમ કુલ ₹57,35,742 ની પ્રોત્સાહક રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમ 50 ટકા કે તેથી વધુ વસૂલાત કરનાર સંસ્થાઓને મળવાપાત્ર છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના હસ્તે આ પ્રોત્સાહક રકમનો ચેક જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાને અર્પણ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:32 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ધિંગાણાના CCTV, શીલજ રોડ પર મુસાફર ભરેલી AMTS બસ ભડભડ સળગી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:27 pm

રાજકોટમાં લો વિઝિબિલિટીના લીધે ફ્લાઇટ મોડી નહીં પડે:ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 22મીથી 350 મીટર રન વે વિઝ્યુઅલ રેન્જમાં પણ ફ્લાઈટ ઉડાનની મંજૂરી અપાશે

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે લો વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ મોડી નહીં પડે કારણકે 22મી જાન્યુઆરીથી અહીં લો વિઝિબિલિટી પ્રોસિજર લાગુ પડતા 350 મીટર રન વે વિઝ્યુઅલ રેન્જમાં પણ ફ્લાઇટની ઉડાન શક્ય બનશે. હાલમાં 550 મીટર રન વે વિઝ્યુઅલ રેન્જ હોય તો જ ફ્લાઈટ ઉડાન માટેની મંજૂરી આપવામાં આવે છે. શિયાળામાં વહેલી સવાર અને સાંજના સમયે લો વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ મોડી પડતા મુસાફરોને મુશ્કેલી પડતી હતી પરંતુ હવે આ સમસ્યા દૂર થઈ જશે. રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 22 જાન્યુઆરીથી લો વિઝિબિલિટી પ્રોસિજર લાગુ કરવામાં આવશે. જેથી હાલમાં 550 મીટરથી ઓછી વિઝિબિલિટી હોય તો ફ્લાઇટને ઉડાનની મંજૂરી આપવામાં આવતી નથી પરંતુ હવે 350 મીટરની વિઝિબિલિટીમાં પણ ફ્લાઇટ ઉડાનને મંજૂરી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધુમ્મસવાળી સ્થિતિમા એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં દૃશ્યતા ઓછી થાય છે. જેને કારણે પાયલોટને ફ્લાઇટની ઉડાનમાં મુશ્કેલી પડે છે પરંતુ હવે લો વિઝિબિલિટી પ્રોસિજર લાગુ પડતા પાયલોટ રન વે પર સેન્ટર લાઇન પરની લાઇટની સાથે સપાટીના નિશાનોના આધારે 350 મીટરની વિઝિબિલિટીમાં પણ ફ્લાઈટ ઉડાવી શકશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ પરથી હાલ દૈનિક મુંબઈની 5, દિલ્હીની 4 તથા ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરની 1-1 એમ કુલ 12 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. શિયાળામાં વહેલી સવારે અને સાંજે લો વિઝીબિલિટી હોય છે. જેને કારણે પાયલોટ ને ફ્લાઈટ ઉડાવવામાં મુશ્કેલી પડે છે અને તેથી મુસાફરોને પણ હેરાનગતિ થાય છે. જોકે 22મી જાન્યુઆરીથી આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:27 pm

પાણીપુરી ખાતા પહેલા સાવધાન, 280 નમુના ફેલ:અમદાવાદમાં દર ચારમાંથી એક લારીની પાણીપુરી અખાદ્ય, અમુક જગ્યાએ બેક્ટેરિયા મળ્યા

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધે નહીં તેને લઈને પાણીપુરી વેચનાર લારીઓ-એકમો સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના ખોખરા, ઇસનપુર, જમાલપુર, વટવા, મણીનગર, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, ઘાટલોડીયા, બાપુનગર, સરસપુર, ગોમતીપુર, સાબરમતી, રાણીપ, ચાંદખેડા, નવાવાડજ, વાસણા, પાલડી, સરખેજ, ખાડિયા, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળેથી પાણીપુરીના પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાની તપાસ કરાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 1,121 જેટલી પાણીપુરીની લારીઓ પર પાણીના નમૂના લેવાયા હતા, જેમાં 280 સેમ્પલમાં ખાવા લાયક ન હોય એવા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તો અમુક જગ્યાએ પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યાં છે. પાણીમાં અખાદ્ય કલરનો ઉમેરો થતો હોવાનું સામે આવ્યુંઆ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં શહેરમાં અલગ-અલગ જગ્યા પર પાણીપુરીની લારીઓ ચેક કરવામાં આવી હતી. શહેરની 280 લારીઓ પર પાણીમાં ઉમેરવાનો પરવાનગી વિનાનો કલર મળી આવ્યો હતો. 77 જગ્યાએ પાણીના બેક્ટેરિયા તપાસ કરવામાં આવી, જેમાં 2 જગ્યા પર પાણીના બેક્ટેરિયા મળી આવ્યા હતાં. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પાણીપુરી અને અન્ય જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઝોન પ્રમાણે 280 ફેલ સેમ્પલની વિગત 14 દિવસમાં 1208 ખાદ્ય એકમોની તપાસઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો, હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધીમાં 1208 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. ફૂડ વિભાગ દ્વારા સૌથી વધુ પાણીપુરીના પાણીના સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. સાથે જ બેકરી પ્રોડક્ટ્સના 19, ખાદ્યતેલના 16, આઇસ્ક્રીમના 13, નમકીનના 12, પાણીપુરીના પાણીના સેમ્પલ 26, પનીર-બટરના 8, મસાલાના 9, મીઠાઈના 6 અને અન્ય 114 એમ કુલ 228 નમૂના લેવામાં આવ્યા હતા. 1.21 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો377 જગ્યાને નોટિસ આપી છે. 673 કિલો અને 622 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નિકાલ કર્યો છે, જ્યારે 1.21 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાન સહિત 457 જગ્યાએ TPC તપાસ્યા હતા. જોકે, આ ચેકિંગ દરમિયાન કેટલી જગ્યાએ સૌથી વધારે તેલ એકથી વધુ વાર વાપરવામાં આવ્યુ અને કેટલાને તેના કારણે દંડ અથવા સીલ કરવામાં આવ્યા છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. એસ.જી.હાઈ-વે સહિત 9 જગ્યાએથી પાણીપુરીની લારીઓ દૂર કરવાની કાર્યવાહીએસ્ટેટ વિભાગને જાહેર રોડ પર પાણીપુરીની લારીઓ ઊભી ન રહે એવી કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. આ સૂચના અંતર્ગત 16 જાન્યુઆરીએ એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા પાણીપુરીની લારી રોડ પર ઊભી રાખતા લોકો પર તવાઈ બોલાવી હતી. શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં મણિનગર ક્રોસ રોડથી રાધા મંદિર, ગોવિંદ વાડીથી વિશાલનગર અને ઈસનપુર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ઝોનલ ઓફિસથી દાણીલીમડા ક્રોસ રોડ, મેલડી માતા મંદિરથી કલ્યાણજી આનંદજી બ્લોક સુધીના માર્ગો પર ચેકિંગ હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન 12 લારીઓ, 78 પરચુરણ જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ 9,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉત્તર ઝોનમાં કુલ 14 લારીઓ સામે કાર્યવાહીઉત્તર ઝોનમાં શ્યામશિખર ક્રોસ રોડ, નરોડા વિસ્તારમાં વિજય પાર્ક ત્રિજંક્શન (બાટા શો-રૂમ સામે), નરોડા BRTS ટર્મિનલ તથા ઠક્કરબાપાનગર રતનબા સ્કૂલ રોડ પર એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝોનમાં કુલ 14 લારીઓ સામે કાર્યવાહી કરાઈ હતી. મધ્ય ઝોનમાં જમાલપુર ખાતે વસંત રાજાબ હોલ નજીક, અસરવાના પ્રભુનગર સર્કલ, ખાડિયા વિસ્તારમાં ST ગીતા મંદિર તથા ભૂતની અંબાલી જેવા વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. 8 લારી કબજામાં લેવાઈઅહીં 7 લારીઓ અને 46 પરચુરણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ગોમતીપુર ગામ, અમરાઈવાડી વિસ્તારમાં એપેરલ પાર્કથી રાધે કોમ્પ્લેક્સ સુધી તેમજ સ્વસ્તિક ક્રોસ રોડથી હાટકેશ્વર વિસ્તાર સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઝોનમાં કુલ 8 લારીઓ કબ્જામાં લેવામાં આવી હતી. શહેરને દબાણમુક્ત કરવા ઝોનવાઈઝ કામગીરી ચાલુ રહેશેઉત્તર-પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા હેલ્થ સ્ટાફ સાથે સંયુક્ત ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 7 કાઉન્ટર, 9 લારીઓ, 6 લાકડાના ટેબલ અને 23 પરચુરણ જપ્ત કરવામાં આવ્યા હતા. ગોતા વોર્ડમાં સાયન્સ સિટી રોડ, સોલા ગામ, સિમ્સ હોસ્પિટલ રોડ તેમજ કારગીલથી ડમરુ સર્કલ સુધી, ચાંદલોડિયા વોર્ડમાં વંદેમાતરમ રોડ, રણછોડનગર અને ચાંદલોડિયા બ્રિજ પાસે તેમજ થલતેજ–બોડકદેવ વોર્ડમાં થલતેજ મેટ્રો રોડ, જજીસ બંગલો રોડ અને NFD સર્કલ રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવ્યું છે કે, શહેરને દબાણમુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે આવી ઝોનવાઈઝ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:21 pm

'2027માં ગુજરાતમાં વિસાવદરવાળી કરવાની છે':વડોદરાના જાહેર મંચ પર કેજરીવાલના સરકાર પર આકરા પ્રહાર, ભાજપના MLAનો પત્ર જાહેર મંચથી વાંચ્યો

વડોદરામાં શહેરના આજવા રોડ પર આવેલ ખાનગી પાર્ટીપ્લોટ સામે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના સાંનિધ્યમાં ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્વે હરણી બોટકાંડના પીડિતો અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. પોતાની આપવીતી અને ન્યાયની લડાઈ લડવા માટે પોતાની રજૂઆત કરી હતી. બાદમાં ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સમ્મેલન કાર્યક્રમના અંતમાં શપથ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપની તાનાશાહી સાથે લડવા માંગતો હોય તે સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભો રહે આ અંગે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ પોતાના પરિવારને જ નેતા બનાવે છે. અરવિંદ કેજરીવાલ ભગવાને મોકલેલા દૂત છે, અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હજારો કાર્યકર્તાઓ ઉભા રહેશે. ભાજપનો કોઈપણ વ્યક્તિ ભાજપની તાનાશાહી સાથે લડવા માંગતો હોય તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભો રહે એવી મારી અપીલ છે. બુથ લેવલે વોટિંગ સાથે મજબૂત રીતે મતદાન કરીશું. બે મહિના છે જેટલા અત્યાચાર કરવા હોય તે કરી લેવધુમાં તેઓએ જણાવ્યું કે, ભાજપે ધમકીઓ આપી કાર્યક્રમો રદ કરાવે છે. ભાજપવાળાને બે મહિના છે જેટલા અત્યાચાર કરવા હોય તે કરી લે, આપડે હવે જેલમાં તેમને નાખવાનો વારો છે. ભાજપમાં તાકાત હોય એટલો જ અત્યાચાર કરજો નહીં તો વ્યાજ સાથે અમે વસૂલ કરીશું એવું સંબોધન કર્યું હતું. આપણે જેલથી ડરવાનું નથી, સરકાર બને એટલે એમને નાખવાના છે. આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. 30 વર્ષમાં ભાજપની સરકારે બધુ જ લૂંટી લીધું આ અંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તા જોઈ આટલું મોટું સંગઠન ભાજપ પાસે પણ નહીં હોય, જે હું આજે અહીંયા જોઈ રહ્યો છું. આજે લોકોના મનમાં ડર નીકળી રહ્યો તેમ લોકો જોડાઈ રહ્યા છે. અમારા નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા છે. 30 વર્ષમાં ભાજપની સરકારે બધુ જ લૂંટી લીધું છે. દરેક ગુજરાતીનું અપમાન કરવામાં આવે છેવધુમાં કહ્યું કે, સરકારે સ્કૂલોની સ્થિતિ ખૂબ ખરાબ છે, આજે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને મોકલવામાં આવે છે. આજે ભાજપની સરકાર રોજગારી ખાઈ ગઈ છે, દરેક ગુજરાતીનું અપમાન કરવામાં આવે છે. યુવાઓ, વેપારીઓ અને દરેકની અપમાન કરવામાં આવે છે, આ સન્માનની લડાઈ છે. હરણી બોટકાંડના પરિવારજનોને આજે હું મળ્યો હતો. જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે ભાજનો કોન્ટ્રાક્ટર હતો. તેઓને મુખ્યમત્રીને મળવા માંગતા હતા તેઓને મળવાની જગ્યાએ ગુંડાગર્દી કરી હતી અને તેઓને ત્યાંથી હટાવી અને ઘર તોડવાની વાત કરી હતી. આદિવાસી કલ્યાણ ફંડમાંથી 50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો લોકો માટે આવાજ ઉઠાવનારને જેલમાં નાખવામાં આવે છે. અમારા દેશના પ્રધાનમંત્રી ડેડીયાપાળા આવ્યા હતા તેના ખર્ચ અંગેની માહિતી માગી હતી. તે ખર્ચ આદિવાસી કલ્યાણ ફંડમાંથી 50 કરોડનો ખર્ચ કરવાના આવ્યો હતો. જેમાં 2 કરોડના સમોસાં ખાઈ ગયા, કરોડો રૂપિયા બસ અને ટેન્ટ પાછળ ખર્ચ કરવામાં આવે છે. 2027ની ચૂંટણીમાં ભાજપની સત્તા જશે અને AAPની સરકાર બનશેવધુમાં કહ્યું કે, અમારા નેતા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જાય છે ત્યાં ખૂબ મોટું સમર્થન મળી રહ્યું છે. વર્ષ 2027ની ચૂંટણીમાં ભાજપની સત્તા જશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. કોંગ્રેસના લોકોને સરકારી ઠેકા આપવામાં આવે છે. અમારે ઠેકા નહીં સરકાર માટે કામ કરવું છે. વડોદરાના પાંચ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે પણ જાહેર મંચથી લખેલા પત્રને વાંચી સંભળાવ્યો હતો. આમ આદમી પાર્ટીની સરકાર બનાવો તમામ કામ થશે. વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખ્યા છે આજે બદલાવ માટે અમે લોકોને જોડી રહ્યા છે. વિસાવદરની જનતાને સમગ્ર ગુજરાતને બતાવ્યું છે કે ત્યાં આમ આદમી પાર્ટી જીતી શકે તો આખા ગુજરતામાં કેમ નહીં. કાર્યકર્તા સંમેલનમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતાઆ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દૂર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરનાં ધારાસભ્ય હેમંત ખવા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા સાગર રબારી, રાજુભાઈ સોલંકી, પૂર્વ ઝોન પ્રભારી અને વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા, લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:09 pm

વધુ એક સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો:ગલીના ગુંડાઓની જેમ એકબીજા પર તૂટી પડ્યા વિદ્યાર્થીઓ, વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે, રાજ્યમાં આગની બે ઘટનાથી અફરાતફરી

એક વિદ્યાર્થીએ બીજા પર છરીથી હુમલો કર્યો અમદાવાદમાં સેવન્થ ડે જેવી ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની. ધો.10માં ભણતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો. સ્કૂલની બહાર 10માં ધોરણના વિદ્યાર્થીઓ ગુંડાની જેમ ઝઘડતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે પહોંચ્યા દિલ્હી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે ગુજરાતના ટોચના નેતાઓ દિલ્હીના પ્રવાસે. 19 જાન્યુઆરીએ નામાંકન અને 20 જાન્યુઆરીએ અધ્યક્ષની જાહેરાત થશે. જેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણીઓ દિલ્હી પહોંચ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાના આપ્યા સંકેત જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાની વાત કરી.કઈ પાર્ટીમાં જોડાઈશ એ પછીથી નક્કી કરી લઈશ.અંબાજીમાં શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા'દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પંડિત પ્રદીપ મિશ્રાએ હિન્દુઓને કરી અપીલ વડોદરામાં કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાનો ઉલ્લેખ કરી હિન્દુઓને અપીલ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કમલેશ તિવારી હત્યાના આરોપીની ફરી ધરપકડ હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપી યુસુફ પઠાણની જામીન પર છૂટ્યા બાદ ફરીથી ધરપકડ કરવામાં આવી.સુરતમાં મિત્રને ચપ્પુ બતાવી 7 લાખની કાર પડાવી UP ફરાર થઈ ગયો હતો. લુણાવાડાના કરોડોના સાયબર ફ્રોડમાં પણ સંડોવણી સામે આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 21મીથી ફિઝિકલ ટેસ્ટ રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 21મીથી પીએસઆઈ અને લોકરક્ષક કેડરના ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ગ્રાઉન્ડ ઈન્ચાર્જ તરીકે SP કક્ષાના અધિકારીને નિયુક્ત કરાયા છે. 10 લાખ ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટ માટે મેદાને ઉતરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગની બે ઘટનાઓથી અફરાતફરી રાજ્યમાં આજે આગની બે ઘટનાઓ બની.અમદાવાદના એસજી હાઈવે પર એએમટીએસ બસ સળગી ઉઠી. તો સુરતમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા 5 શ્રમિકો 35થી 50% સુધી દાઝ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કફ સિરપ પીવાથી પાંચ વર્ષની બાળકીનું મોત વડોદરામાં કફ સિરપ પીવાથી પાંચ વર્ષની બાળકીનું મોત થયું,બાળકીની માસીએ તેની સાથે કંઈક અજૂગતું બન્યાનો આક્ષેપ કર્યો છે. સાચું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો વડોદરામાં આજે વિમેન પ્રીમિયર લીગની પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં ડબલ્યુપીએલની આજે પહેલી મેચ છે. હવે બાકી રહેલી તમામ 11 મેચો અહીં જ રમાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માવઠાની આગાહી વચ્ચે વધ્યું ઠંડીનું જોર માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધ્યું.. સૌથી નીચું તાપમાન અમરેલીમાં 9.6c નોંધાયું.24 કલાકમાં જ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:57 pm

બોટાદના તુરખામાં મહિલાની હત્યા, પાંચમાં દિવસે મૃતદેહનો પરિવારે સ્વીકાર્યો નહીં:ભાવનગરની હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોની ન્યાયની માંગ સાથે ધરણા

બોટાદ જિલ્લાના તુરખા ગામમાં અપહરણના મુદ્દે થયેલા ઝઘડામાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું અને ઘટના હત્યામાં પરિણામી હતી.જેમાં 15 જાન્યુઆરીએ થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ નાનીબેન નામની મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર હાલતમાં સર.ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ આક્ષેપ ર્ક્યો છે કે, છેલ્લા પાંચ દિવસથી મૃતદેહ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં છે છતાં ન્યાય મળ્યો નથી. ત્યારે આજરોજ પરિવારજનો અને સમાજના આગેવાનો હોસ્પિટલ પીએમ રૂમ સામે ધરણા પર બેસી તમામ આરોપીઓની ધરપકડ, પીડિત પરિવારને સહાય ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાંની માંગ ઉઠાવવામાં આવી છે. 'સામાવાળાઓએ અમારા ઘરે આવીને ઝઘડો કર્યો હતો'આ અંગે મૃતકના સંબંધી રાહુલ પરમારે જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના તુરખા ગામમાં મારા મોટા બાપાના દીકરીને 12 જાન્યુઆરીએ યુવકે અપહરણ કર્યું. જે અપહરણ કર્યા બાદ જે છોકરો લઈને ગયો હતો, એના મિત્રને પૂછેલું, એટલી બોલાચાલીમાં 15 તારીખે સામાવાળાઓએ અમારા ઘરે આવીને ઝઘડો કર્યો હતો. 'પાંચ દિવસથી મૃતદેહ ભાવનગર હોસ્પિટલમાં, તંત્ર અમારી માંગ સ્વીકારતા નથી'રાહુલે વધુમાં કહ્યું કે, એમાં કાઠી દરબારો અને બધા અમારા ઘરે આવીને મોટો ઝઘડો કર્યો હતો. તેમાં અમારા મોટા બા(નાનીબેન)ને ઈજા થઈ હતી અને દવાખાને લઈ જતા તેનું મૃત્યુ થઈ ગયું, અને અન્ય બે ભાઈઓને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે પાંચ દિવસથી અમારા મોટા બાનો મૃતદેહ ભાવનગર સરકારી હોસ્પિટલમાં છે, છતાં તંત્ર દ્વારા અમારી કોઈપણ જાતની માંગ સ્વીકારતા નથી. અને અમને ન્યાય મળ્યો નથી. જેથી જેટલો બને એટલો ઝડપી અને શક્ય ન્યાય અમને આપો. 'જેટલા આરોપી છે તે બધા પકડાવા જોઈએ'તેને વધુમાં કહ્યું કે, સરકાર પાસે અમારી એટલી જ માંગણી છે, આમાં જેટલા આરોપી છે તે બધા આરોપી તાત્કાલિક પકડાઈ જવા જોઈએ, અને અમારા પીડીત પરિવારને મળવાપાત્ર સુવિધા મળે. આગળ જતા કોઈ દીકરી સાથે આવું ન થવું જોઈએ, અને જેટલા બુટલેગર છે તે બધાના દારૂના અડ્ડા બંધ થવા જોઈએ, તેવી અમારી માંગણી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:53 pm

18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા:​ગિરનાર સર કરવા દેશભરના 541 સ્પર્ધકો જૂનાગઢમાં દોડ લગાવશે: 1 ફેબ્રુઆરીએ 18મી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાશે.

​જૂનાગઢમાં આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાની આ સાહસિક સ્પર્ધામાં ભારતભરના 12 જેટલા વિવિધ રાજ્યોમાંથી કુલ 541 ખેલાડીઓ પોતાની શક્તિ અને સ્ફૂર્તિનું પ્રદર્શન કરશે. ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધા માટે વહીવટી તંત્ર દ્વારા 8 વિવિધ સમિતિઓની રચના કરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ​આ સ્પર્ધામાં મુખ્યત્વે 4 કેટેગરી રાખવામાં આવી છે, જેમાં સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 એમ મળીને કુલ 541 સ્પર્ધકો પસંદગી પામ્યા છે. ભાઈઓ માટેની સ્પર્ધા ભવનાથ તળેટીથી શરૂ થઈ અંબાજી મંદિર સુધીના 5500 પગથિયાંની રહેશે, જ્યારે બહેનો માટે તળેટીથી માળી પરબ સુધીના 2200 પગથિયાં સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના ઓસમ, ચોટીલા, ઇડર, પાવાગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાયેલી સ્પર્ધાઓના પ્રથમ 10 વિજેતાઓ તેમજ રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓને પણ સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે. ​સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓએ 30 જાન્યુઆરી 2026ના રોજ ભવનાથ તળેટી ખાતે આવેલી સનાતન ધર્મશાળામાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાને રાખી 30 અને 31 જાન્યુઆરી દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે તમામ સ્પર્ધકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. પસંદગી પામેલા અને નાપસંદગી પામેલા ખેલાડીઓની સત્તાવાર યાદી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Facebook ID - Dydo Junagadh) પર જાહેર કરી દેવામાં આવી છે. ગિરનારના ગઢ સર કરવા માટે દેશભરના યુવાઓમાં અત્યારથી જ ભારે જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:53 pm

પોરબંદરની MBA કોલેજ વિવાદનો સુખદ અંત:વિદ્યાર્થીઓને હવે જામનગરની કોલેજમાં પ્રવેશ, ખર્ચ-ફીમાં પણ રાહત, મેનેજમેન્ટના નિર્ણયને આવકારાયો

પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે.એન. રૂપારેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (MBA) કોલેજની ઘોર બેદરકારીથી 42 નિર્દોષ વિદ્યાર્થીના અભ્યાસના 6 મહિના બગડ્યાં હતા. જોકે, સેમેસ્ટર 1 ની પરીક્ષા ન આપી શકવાને કારણે ચિંતિત વિદ્યાર્થીઓને હવે રાહત મળી છે. કોલેજ મેનેજમેન્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ વિદ્યાર્થીઓને હવે જામનગરની કોલેજમાં પ્રવેશ અપાશે. જ્યાં પરીક્ષા, રહેવા અને જમવાનો તમામ ખર્ચ મેનેજમેન્ટ ભોગવશે. અગાઉ, કેટલાક વિદ્યાર્થીઓ એમ.બી.એ. સેમેસ્ટર 1 ની પરીક્ષા આપી શક્યા ન હતા, જેના કારણે તેમના શૈક્ષણિક ભવિષ્ય અંગે ચિંતા પ્રવર્તી રહી હતી. કોલેજ મેનેજમેન્ટે આ મુદ્દે એક નવો નિર્ણય લીધો છે, જેને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બંનેએ સ્વીકાર્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓની પરીક્ષા સંબંધિત ચિંતાનો અંત આવ્યો છે. શું નિર્ણય લેવાયો?આ નિર્ણય અંતર્ગત, તમામ 42 વિદ્યાર્થીઓને જામનગરની 'પરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ' માં નવા નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે સુનિશ્ચિત કરવા માટે, ગુરુકુળ મેનેજમેન્ટ દ્વારા પરીક્ષા, રહેવા અને જમવાનો તમામ ખર્ચ ભોગવવામાં આવશે. વધુમાં, વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં સંસ્થા દ્વારા આગામી સેમેસ્ટરની ફીમાં 50 ટકા રાહત આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ અભ્યાસ પોરબંદરની જ કોલેજમાં કરશે પણ તેઓ પરીક્ષા આપવા માટે જામનગર જશે. જેનો તમામ ખર્ચ મેનેજમેન્ટ ભોગવશે. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટના આ નિર્ણયને સંતોષકારક ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીંઃ સ્વામી ભાનુ પ્રકાશટ્રસ્ટી સ્વામી ભાનુ પ્રકાશે જણાવ્યું કે, ગુરૂકૂળના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થયું ન હતું જેના કારણે જે પ્રશ્ન હતો તેનું આજે સમાધાન થયું છે. આ 42 વિદ્યાર્થીઓનું હવે બાય એન્યુલ 2026ના નવા નિયમ પ્રમાણે જામનગરની કોલેજમાં એડમિશન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં. તે વિદ્યાર્થીઓનું ખાવા-પીવા- રહેવા સહિતનો ખર્ચો મેનેજમેન્ટ ભોગવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સેમેન્ટ 2ની ફી માં પણ 50 ટકાનો ઘટાડો કર્યો છે. વિદ્યાર્થિની સંજનાએ જણાવ્યું કે, MBA સેમ-1ની પરીક્ષા અમે ન આપી શક્યાં તે બાબત અમે ભુલી ગયા છીએ. અમારા મેનેજમેન્ટે હાલમાં જે નિર્ણય લીધો છે તે અમને માન્ય છે. અમે મેનેજમેન્ટ સહિતનાઓનો આભાર માનીએ છીએ. વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી પોરબંદરની કોલેજમાં માન્યતાને લઈ વિદ્યાર્થીઓ જે પરીક્ષાથી વંચીત રહી ગયા હતા તેને લઈ હોબાળો થયો હતો. આ અંગે GTUમાં પણ રજૂઆત કરાઈ હતી. જે બાબતે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ વિદ્યાર્થીઓના હિત માટે શિક્ષણ મંત્રી સાથે સતત કાર્યશીલ રહ્યા હતા. ત્યારે હવે વિદ્યાર્થીઓને બાય એન્યુઅલમાં જામનગરની કોલેજમાં એડમિશન અપાવવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો?ઘટનાની વિગત એવી છે કે, 16 જાન્યુઆરીથી MBA સેમેસ્ટર-1ની પરીક્ષાઓ શરૂ થઈ હતી. રૂપારેલ કોલેજના 42 વિદ્યાર્થી જ્યારે ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે તેમની હોલ ટિકિટ જ જનરેટ થઈ નથી. છેલ્લા એક મહિનાથી કોલેજ વહીવટીતંત્ર થઈ જશે ના ખોટા આશ્વાસનો આપતું હતું, પરંતુ અંતે પરીક્ષાના દિવસે જ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુમિત આચાર્યએ મારી ભૂલ થઈ ગઈ કહીને હાથ અધ્ધર કરી દેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ રડી પડ્યા હતા. GTU રજિસ્ટ્રારનો ધડાકો: “સંસ્થાએ બારોબાર એડમિશન આપ્યા”આ મામલે GTUના રજિસ્ટ્રાર કે.એન. ખેરે અત્યંત ગંભીર ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થાએ AICTE દ્વારા જનરેટ થતું ફરજિયાત UAE (Extension of Approval) યુનિવર્સિટીમાં સબમિટ કર્યું નહોતું, જેના કારણે તેમનું એફિલિએશન (માન્યતા) મંજૂર થયું ન હતું. નિયમોનું ઉલ્લંઘન: માન્યતા વગર જ કોલેજે ACPC (Admission Committee for Professional Courses)ને બદલે પોતાની રીતે બારોબાર એડમિશન આપી દીધા હતા. નોંધણી જ નથી: યુનિવર્સિટી પાસે આ વિદ્યાર્થીઓની કોઈ વિગત જ નહોતી, જેના કારણે તેમનું એનરોલમેન્ટ થઈ શક્યું નથી અને હોલ ટિકિટ રિલીઝ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:44 pm

રેલ પ્રબંધકે ટિકિટ તપાસમાં 13 કર્મચારીઓને સન્માનિત કરાયા:9 માસમાં રેલવે 5.09 કરોડની આવક સામે એપ્રિલ માસમાં 77 લાખની આવક

ભાવનગર મંડલ દ્વારા 9 મહિનામાં રૂ.5 કરોડથી વધુ ની આવક પ્રાપ્ત કરી હતી, તેની સામે માત્ર એપ્રિલ 2025 મહિનામાં જ રૂ.77.23 લાખની આવક નોંધાઈ છે, તે અંતર્ગત પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાં ટિકિટ તપાસ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર 13 કર્મચારીઓને મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા નગદ ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડલના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા, આ અંગે ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, ભાવનગર મંડલના ટિકિટ તપાસ કર્મચારીઓ ખૂબ જ જવાબદારી અને નિષ્ઠાપૂર્વક પોતાના કર્તવ્યોનું પાલન કરી રહ્યા છે, આ કર્મચારીઓ માત્ર મુસાફરોની યાત્રાને સરળ બનાવવામાં જ નહીં, પરંતુ રેલવેની આવક વધારવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે, તેમણે માહિતી આપી કે ભાવનગર મંડલ દ્વારા એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન ઉત્તમ પ્રદર્શન સાથે કુલ રૂ.5.09 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી છે, જ્યારે માત્ર એપ્રિલ 2025 મહિનામાં જ રૂ.77.23 લાખની આવક નોંધાઈ છે, મંડલ રેલ પ્રબંધક દ્વારા સન્માનિત કરવામાં આવેલા કર્મચારીઓના નામ આ મુજબ છે આઈ.બી. મુન્શી રિઝર્વેશન સુપરવાઈઝર, ગાંધીગ્રામ, ધ્રુવ અમીન સીનિયર સીસી/ટીસી, ગાંધીગ્રામ, યોગેન્દ્ર સિંહ સીસી/ટીસી, જુનાગઢ, આર.એમ. ચૌહાણ મુખ્ય વાણિજ્ય લિપિક, ભાવનગર, વી.એન.જાડેજા રિઝર્વેશન સુપરવાઈઝર, જુનાગઢ, શૈલેષ બી.પરમાર ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક, ગાંધીગ્રામ, અરવિંદ કુમાર ગુર્જર ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક, વેરાવળ, કે.સી. મીણા મુખ્ય ટિકિટ નિરીક્ષક, ગાંધીગ્રામ, પ્રેમચંદ સીનિયર સીસી/ટીસી, ગાંધીગ્રામ, રાજન કુમાર સિંહ મુખ્ય ટિકિટ નિરીક્ષક, વેરાવળ, આર.પી. મેઘવંશી મુખ્ય ટિકિટ સંગ્રાહક, બોટાદ, જે.પી. મકવાણા મુખ્ય ટિકિટ નિરીક્ષક, બોટાદ અને અમોદ કુમાર સીસી/ટીસી, બોટાદ મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માએ તમામ સન્માનિત કર્મચારીઓના કાર્યની પ્રશંસા કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તેમણે ભવિષ્યમાં પણ આ રીતે ઉત્તમ પ્રદર્શન જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:41 pm

ગોધરામાં 200 યુવાનોને સક્ષમ પ્રોજેક્ટ હેઠળ નોકરી:યુવા સશક્તિકરણ કાર્યક્રમમાં પ્રમાણપત્રો અને ઓફર લેટર અપાયા

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 19 જાન્યુઆરી, 2026ના રોજ એક યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 'સક્ષમ પ્રોજેક્ટ' હેઠળ તાલીમ પૂર્ણ કરનાર આશરે 200 યુવાનોને પ્રમાણપત્રો અને નોકરીના ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આયોજિત આ સમારોહ વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL) અને પિપલ ટ્રી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે GRICLના એચઆર હેડ અર્પિતા ચૌહાણ, પ્રોજેક્ટ મેનેજર આશિષ થિતે, વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટના ડેપ્યુટી CSR મેનેજર હિતેશ રાઠોડ અને પિપલ ટ્રી ફાઉન્ડેશનના દેવેન્દ્ર શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ અને GRICL જેવી કંપનીઓ તેમની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત યુવાનોના કૌશલ્ય વિકાસ પર ભાર મૂકી રહી છે. 'સક્ષમ પ્રોજેક્ટ' દ્વારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતભરમાં આશરે 1600 યુવાનોને આ પ્રોજેક્ટ હેઠળ તાલીમબદ્ધ કરાયા છે, જેમાંથી 70 ટકા જેટલા યુવાનો સફળતાપૂર્વક રોજગાર મેળવી ચૂક્યા છે. હાલમાં ગોધરા, વડોદરા અને મહેસાણા ખાતેના કેન્દ્રોમાં જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, મલ્ટી સ્કિલ આસિસ્ટન્ટ અને રિટેલ સેલ્સ એસોસિએટ જેવા મહત્વના કોર્સ ચાલી રહ્યા છે. ગોધરા શહેર અને પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ આ તકે પોતાના સફળતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનીષ પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું, અને આ પહેલથી સ્થાનિક સ્તરે યુવાનો માટે નવી રોજગારીની આશા જાગી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:41 pm

રાજકોટમાં યુવા પ્રતિભા મિલનમાં સૌરાષ્ટ્રભરના યુવાનો સાથે સંવાદ:પંચ પરિવર્તનના વિષયો થકી કાર્યો કરી દેશહિતમાં યોગદાન આપવા લોકોને અપીલ, સંઘને સમજવા વિકિપીડિયા નહિ સંઘ સાહિત્યને વાંચવુ જરૂરી : ડો.મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત સૌરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા છે જ્યાં આજ રોજ તેઓ રાજકોટમાં સેવાભારતી ભવન ખાતે આવી સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનો સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને યુવાનોને RSS અંગે માહિતી આપી પંચ પરિવર્તનના વિષયો થકી કાર્યો કરી દેશહિતમાં યોગદાન આપવા લોકોને અપીલ કરી હતી સાથે જ સંઘને સમજવા માટે વિકિપીડિયા નહિ પરંતુ સંઘ સાહિત્યને વાંચી અને સંઘમાં જોડાઈ સંઘને જાણવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ માતૃશક્તિ જાગરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યુવાનોને સંબોધતા ડો. મોહન ભાગવતે કહ્યું હતું કે, આજે સંઘ શું છે એ સમજવા ઘણા લોકો પ્રયાસ કરી રહ્યા છે સંઘને સમજવું હોય તો સંઘમાં આવવું પડે લોકો વિકિપીડિયામાં સર્ચ કરી સંઘને વાંચી રહ્યા છે પરંતુ સંઘને વાંચવા માટે સંઘ સાહિત્ય વાંચવુ જોઈએ. યુવાનો વિવિધ ક્ષેત્રે દેશ માટે કામ કરી રહ્યા છે, ત્યારે દેશ શું છે તેની સ્પષ્ટ કલ્પના મનમાં હોવી જોઈએ. પંચ પરિવર્તનના વિષયો થકી કાર્યો કરી દેશહિતમાં યોગદાન આપવું જોઈએ. ભૂતકાળમાં આવો સ્પષ્ટ ખ્યાલ મનમાં ન હોવાથી દેશ ગુલામ બન્યો હતો. આપણો દેશ ચૈતન્યમય છે આપણે તેને ભારત માતા કહીએ છીએ. તે કોઈ જમીનનો ભાગ માત્ર નથી તેનું વિભાજન ન થઈ શકે, તે ભાવ સાથે જોડાયેલો છે. સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના પૂર્વે થયેલા મનોમંથનનો ઉલ્લેખ કરીને તેમણે સંઘની સ્થાપનાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત કરવાના લક્ષ્ય સાથે સંઘ કાર્યરત છે. જેમ બ્રિટનમાં બ્રિટિશ, અમેરિકામાં અમેરિકન તેમ હિન્દુસ્તાનમાં રહેનારા હિન્દુ છે. ભારત અને હિન્દુસ્તાન બંને અલગ નથી, એક જ છે, ભારત એ સ્વભાવ છે. હિન્દુ એ સ્વભાવ છે. હળીમળીને સાથે એકતાથી ચાલવાનો સ્વભાવ એ હિન્દુ છે. આપણી ભાવના વસુધૈવ કુટુમ્બકમની રહી છે. સનાતન, ભારતીય, ઈન્ડિક, આર્ય, હિન્દુ બધા સમાન નામો છે. પણ હિન્દુ શબ્દ સરળ છે અને સહેલાઈથી સમજી શકાય છે. આજે દેશમાં હિન્દુ સમાજને આત્મવિસ્મૃત કરવા માટે ષડયંત્રો ચાલી રહ્યા છે, હિન્દુઓ આદિકાળથી, પરંપરાથી આ ભૂમિ પર રહે છે અને દેશને શક્તિશાળી અને વિકસિત બનાવવાની જવાબદારી સમગ્ર સમાજની છે. આથી સંપૂર્ણ હિન્દુ સમાજને એક કરીને, ગુણવત્તાનું નિર્માણ કરીને વિશ્વ કલ્યાણ માટે દેશને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે સંઘ નિયમિત રીતે કામ કરી રહ્યો છે. સંઘ શાખાના માધ્યમથી ગુણવત્તાયુક્ત, શ્રેષ્ઠ, નિષ્ઠાવાન સ્વયંસેવકો તૈયાર કરે છે. આવા સ્વયંસેવકો સમર્પણ ભાવ સાથે સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે, વિવિધ સેવાકાર્યો કરે છે. પરંતુ તે સિવાય પણ સંઘનું કામ છે. માત્ર તેમને જોઈને સંઘના કામનું મૂલ્યાંકન ન કરી શકાય. સંઘને સમજવા માટે સંઘમાં જ આવવું પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દેશનું ભાગ્ય બદલવા સમગ્ર સમાજની સક્રિયતા જરૂરી છે. સમાજમાં પણ આચરણનું પરિવર્તન જરૂરી છે. જો કે બધા લોકો શાખામાં ન આવી શકે, તે ધ્યાનમાં રાખતા સંઘ દ્વારા પંચ પરિવર્તનનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એક છે સામાજિક સમરસતા, બીજું છે કુટુંબ પ્રબોધન, ત્રીજું છે પર્યાવરણઃ પાણી બચાવો, પ્લાસ્ટિક હટાવો, વૃક્ષો લગાવો, ચોથું સ્વબોધ, સ્વદેશી, અને પાંચમું નાગરિક કર્તવ્ય આ પાંચ ક્ષેત્રોમાં કોઈપણ નાગરિક નાના, મોટા કામો કરીને પણ દેશહિતમાં યોગદાન આપી શકે છે. આ કાર્યક્રમના અંતે યુવાનો દ્વારા સંઘ તથા દેશહિત સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ડૉ. મોહનજીએ વિવિધ ઉદાહરણો સાથે યુવાનોની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, સંઘને જાણવો હોય તો વીકીપીડિયામાં ન વાંચો, સંઘ-સાહિત્યને વાંચો. બીજાના પ્રોપેગેન્ડાના આધારે સંઘને ના સમજી શકાય. જો તમે ઉત્કૃષ્ટ રીતે, નિઃસ્વાર્થ બુદ્ધિથી, પ્રામાણિક રીતે દેશહિતમાં કોઈ કામ કરો છો, તો તમે સંઘનું જ કામ કરો છો, એવું સંઘ માને છે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશ મલકાણ તેમજ અન્ય જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:38 pm

પરિણીતા સાથે દુષ્કર્મ આચરી બિભત્સ વીડિયો વાઇરલ કર્યા:મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરી; સુરત પોલીસે ફરાર આરોપીને હિંમતનગરથી દબોચ્યો

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેની સાથે દુષ્કર્મ આચરી અને ત્યારબાદ તેનો બીભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરનાર આરોપીને વરાછા પોલીસે દબોચી લીધો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી પ્રવીણ બોઘરાની બનાસકાંઠાના હિંમતનગર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંબંધ બાંધતી વખતે વાંધાજનક વીડિયો ઉતાર્યામળતી માહિતી મુજબ, આરોપી પ્રવીણ બોઘરાએ ભોગ બનનાર મહિલાને પોતાની વાતોમાં ભોળવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન તેણે મહિલાના કેટલાક વાંધાજનક અને બિભત્સ વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયોના આધારે તે મહિલાને સતત બ્લેકમેલ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આરોપી દ્વારા મહિલાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. વીડિયો સો. મીડિયામાં મુકી મહિલાને બદનામ કરીહદ તો ત્યારે થઈ જ્યારે પ્રવીણે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ કરી મહિલાની બદનામી કરી હતી. આ અત્યાચારથી કંટાળીને અંતે મહિલાએ હિંમત ભેગી કરી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાયા બાદ આરોપી પ્રવીણ પોલીસથી બચવા માટે સતત નાસતો-ફરતો હતો. ધરપકડથી બચવા માટે પોતાના મોબાઈલ નંબર વારંવાર બદલતો હતો. પોલીસ લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે માત્ર વ્હોટ્સએપ કોલિંગનો જ ઉપયોગ કરતો હતો. વરાછા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ તેજ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી જેલમાં ધકેલ્યોટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને બાતમી મળી હતી કે, આરોપી બનાસકાંઠાના હિંમતનગર વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીના આધારે વરાછા પોલીસે તાત્કાલિક ટીમ મોકલી આરોપી પ્રવીણ બોઘરાને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:31 pm

પંચમહાલ સરકારી ક્વાર્ટર્સ જર્જરિત:દીવાલોમાં તિરાડો, મોટી દુર્ઘટનાનો ભય; કર્મચારીઓને જીવનું જોખમ

પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકના ગોધરા ખાતેના સરકારી ક્વાર્ટર્સની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. અહીં વર્ગ-2 અને વર્ગ-3ના સરકારી કર્મચારીઓ પોતાના પરિવાર સાથે જીવના જોખમે રહેવા મજબૂર છે. ઈમારતોની જાળવણીના અભાવે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ક્વાર્ટર્સની ઈમારતો પર ત્રીજા માળ સુધી ઝાડી-ઝાંખરા અને વૃક્ષો ઉગી નીકળ્યા છે. વડલા અને પીપળા જેવા વૃક્ષો દીવાલો અને છત પર ફૂટી નીકળતા તેમાં ઊંડી તિરાડો પડી ગઈ છે. ચોમાસામાં છત પરથી પાણી ટપકવું સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ દીવાલોની તિરાડોને કારણે આખી ઈમારત ધરાશાયી થવાના ભય હેઠળ છે. આ ક્વાર્ટર્સમાં શિક્ષણ, ICDS, પશુપાલન, ખેતીવાડી, નાની સિંચાઈ અને મહેકમ સહિતના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ વસવાટ કરે છે. દિવસભર સરકારી સેવા આપ્યા બાદ, આ કર્મચારીઓ અને તેમના નાના બાળકો રાત્રે પોતાના જ ઘરમાં ભયના ઓથાર હેઠળ સૂવા મજબૂર બને છે. આ સરકારી ક્વાર્ટર્સની જાળવણીની જવાબદારી માર્ગ અને મકાન પંચાયત વિભાગની છે. કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, સમારકામ કે નવીનીકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની આ ઘોર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જર્જરિત હાલતને કારણે કર્મચારીઓના પરિવારની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. જો સમયસર આ ક્વાર્ટર્સનું યોગ્ય સમારકામ કે નવીનીકરણ કરવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં. ઉપરાંત, ગંદકી અને ઝાડી-ઝાંખરાને કારણે ઝેરી જનાવરોનો પણ સતત ભય રહેલો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:14 pm

ભરૂચમાં 200 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:નગરપાલિકાની વિશેષ ડ્રાઇવ, વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી

ભરૂચ નગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથ ધરાયેલા આ અભિયાનમાં વિવિધ વોર્ડમાંથી 200 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે, સંબંધિત વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરોએ તેમની ટીમ સાથે દુકાનો, રેકડીઓ, હોટલો અને અન્ય વ્યાવસાયિક એકમોનું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીઓ મળી આવી હતી, જેને તાત્કાલિક જપ્ત કરવામાં આવી હતી. પ્લાસ્ટિક જપ્ત કરવા ઉપરાંત, દુકાનની બહાર ગંદકી ફેલાવતા, કચરો જાહેર માર્ગ પર ફેંકતા અને સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે દંડ વસૂલવામાં આવ્યો હતો. પાલિકાના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, કચરો ડસ્ટબિનમાં નાખવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે કડક સૂચનાઓ આપી હતી. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરને કચરામુક્ત અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તેમણે નાગરિકો અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી, જેથી ભરૂચને સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય ઝડપથી સિદ્ધ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:53 pm

ગોધરા-મોટી કાંટડી રૂટની ST બસ સેવા ફરી શરૂ:ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને રાહત મળી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામે ગોધરા-મોટી કાંટડી રૂટની ગુજરાત એસ.ટી. બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી મોટી કાંટડી અને આસપાસના ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટી રાહત મળશે. અગાઉ, ગોધરાથી મોટી કાંટડી રૂટની આ બસ સેવા બંધ કરી દેવાઈ હતી. જેના કારણે સ્થાનિક ગ્રામજનો, અભ્યાસ અર્થે ગોધરા જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યા અંગે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆત અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, એસ.ટી. સત્તાધીશોએ આ રૂટ પર બસ સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો. એસ.ટી. સત્તાધીશો અને ગ્રામજનોની આગેવાની હેઠળ મોટી કાંટડી બસ સ્ટોપથી આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બસ સેવા ફરી શરૂ થતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:51 pm

દીકરીઓને મળશે ₹1.10 લાખની સહાય:પાટણમાં વહાલી દીકરી યોજના હેઠળ વિશેષ ઝુંબેશ

પાટણ જિલ્લામાં દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની 'વહાલી દીકરી યોજના'નો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દીકરીઓને કુલ ₹1.10 લાખની સહાય મળશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2019થી અમલમાં મુકાયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓનું સ્થાન મજબૂત બનાવવું, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવાનો છે. સહાયના માળખા મુજબ, દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ હપ્તા તરીકે ₹4,000 અને ધોરણ 9માં પ્રવેશ વખતે બીજા હપ્તા તરીકે ₹6,000ની સહાય આપવામાં આવશે. યોજનાનો અંતિમ અને ત્રીજો હપ્તો દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ₹1,00,000 મળવાપાત્ર થશે. આ માટે દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લાના અરજદારો સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરી અથવા ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ VCE પાસેથી ફોર્મ મેળવી શકશે. આ ઉપરાંત, અરજદારો ઓનલાઈન પોર્ટલ https://emahilakalyan.gujarat.gov.in પર જઈને પણ અરજી કરી શકે છે. અરજી સાથે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, દીકરી અને માતા-પિતાનું આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશનકાર્ડ, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ અને નિયત નમૂના મુજબના એકરારનામાં રજૂ કરવાના રહેશે. વહાલી દીકરી યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા કે વધુ માહિતી મેળવવા માટે પાટણ જિલ્લાના નાગરિકો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંપર્ક નંબર 02766-265510 પર સંપર્ક કરી શકશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઝુંબેશ દ્વારા જિલ્લાની વધુમાં વધુ દીકરીઓને આવરી લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:47 pm

રબારી સમાજમાં ખોટા ખર્ચા બંધ કરાશે:ધાનેરામાં સામાજિક બંધારણ અંગે બેઠક, 500 કરોડ બચાવવાનો લક્ષ્ય

રબારી સમાજમાં લગ્ન, મરણ સહિતના સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સામાજિક બંધારણ દ્વારા દર વર્ષે રબારી સમાજના 500 કરોડ રૂપિયાથી વધુની બચત કરવાનો લક્ષ્ય છે. આ માહિતી ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ આપી હતી. ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણના આયોજનના ભાગરૂપે સોમવારે ધાનેરા ખાતે રબારી સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને રાણીવાડાના ધારાસભ્ય રતનજી દેવાસી સહિતના રબારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજને કુરિવાજોમાંથી બહાર આવી, ખોટા ખર્ચાઓ અટકાવી, તે પૈસા આવનારી પેઢીના ભવિષ્ય માટે એટલે કે શિક્ષણ પાછળ વાપરવા અપીલ કરી હતી. આ સામાજિક બંધારણ આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસાના સમશેરપુરા સ્થિત એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાનાર છે, જ્યાં તેને ઔપચારિક રીતે અપનાવવામાં આવશે. ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું હતું કે, આ પહેલથી સમાજમાં શિક્ષણનું સ્તર સુધરશે અને આર્થિક રીતે સક્ષમ બનશે. આ પગલાંથી સમાજમાં વર્ષે દહાડે થતા કરોડો રૂપિયાના બિનજરૂરી ખર્ચાઓ અટકાવી શકાશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:46 pm

84 કડવા પાટીદાર સમાજની 'પાઘડીની લાજ' પહેલ:અન્ય સમાજમાં ગયેલી દીકરીઓને સન્માન સાથે પરત લાવવા નિર્ણય

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કરી ગયેલી દીકરીઓને સન્માન સાથે પરત લાવવા માટે 'પાઘડીની લાજ' નામની નવી પહેલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિશાળ સંમેલનમાં અંદાજે 3,000 થી વધુ મહિલાઓ એકત્રિત થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક જાગૃતિ લાવવાનો અને અન્ય જ્ઞાતિઓમાં લગ્ન કરનાર દીકરીઓને પુનઃ સ્વીકારવાનો છે. 'પાઘડીની લાજ' અભિયાન અંતર્ગત, જો કોઈ દીકરી અન્ય સમાજમાં લગ્ન કર્યા બાદ પસ્તાવો કરતી હોય અથવા કોઈ મુંઝવણમાં હોય અને પરત આવવા ઈચ્છતી હોય, તો સમાજ તેમને મદદ કરશે. આ માટે મહિલા મંડળ અને સમાજના અગ્રણીઓ આવી દીકરીઓનો સંપર્ક કરી તેમને સુરક્ષિત રીતે ઘરે લાવવાના પ્રયાસો કરશે. સંમેલનમાં લેવાયેલા નિર્ણય મુજબ, આવી દીકરીઓને સમજાવીને તેમની ભૂલ માફ કરવામાં આવશે અને તેમને સમાજનો ડર દૂર કરવા પ્રોત્સાહિત કરાશે. જો કોઈ દીકરી પરત આવવા માંગશે, તો તેને પૂરા સન્માન સાથે સ્વીકારવામાં આવશે, જેથી તે ભવિષ્યમાં સુરક્ષિત જીવન જીવી શકે. આ પહેલ હેઠળ હવે ઠેર ઠેર 'મા-દીકરી સંમેલન' યોજવાનું આયોજન છે. મહિલા જાગૃતિના આ કાર્યક્રમ દ્વારા સમાજમાં દીકરીઓનું માન જાળવી રાખવા અને સામાજિક ભય દૂર કરી પારિવારિક સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મણિયારીથી શરૂ થયેલી આ ઝુંબેશ આગામી સમયમાં સમગ્ર 84 કડવા પાટીદાર સમાજના વિવિધ વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:43 pm

વલસાડમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ:250 CCTV ફૂટેજથી બે આરોપીઓની ધરપકડ, એક ફરાર

વલસાડ: વલસાડ સિટી પોલીસ અને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય ઘરફોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. આ કાર્યવાહી શહેરના અબ્રામા વિસ્તારમાં થયેલી ચોરીના કેસમાં કરવામાં આવી છે. ગયા વર્ષે 28 ડિસેમ્બરની રાત્રે વલસાડ સિટીના અબ્રામા વિસ્તારમાં આવેલી છોટુ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી એક ઘરમાંથી સોનાના દાગીના અને હોન્ડા સીબી શાઈન મોટરસાયકલની ચોરી થઈ હતી. આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે વડોદરાથી લઈને મહારાષ્ટ્ર સુધીના લગભગ 250 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસને જાણ થઈ હતી કે આ ગેંગ ફરીથી વલસાડમાં ગુનો કરવા આવવાની છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી થયેલી સોનાની બે વીંટી અને હોન્ડા સીબી શાઈન મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મહારાષ્ટ્રથી કાર લઈને ગુજરાત આવતા હતા. તેઓ વિવિધ વિસ્તારોમાં રેકી કરીને ચોરી માટે ટાર્ગેટ નક્કી કરતા હતા. ગુનો કરતી વખતે તેઓ પોતાની ગાડી પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવતા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હાઈવે પર ઊંધા રસ્તે ગાડી ચલાવી મહારાષ્ટ્ર ભાગી જતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આગા અમીર સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 19 ગુના નોંધાયેલા છે, જ્યારે ફૈઝાન (સુરેન્દ્રનગર) સામે 6 ગુના નોંધાયેલા છે. આ ગેંગનો ત્રીજો ફરાર સાગરીત સામે મહારાષ્ટ્રમાં 24 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે અને આ ગેંગ અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:40 pm

ફાયર ટેન્કરનું વ્હીલ ફરી વળતા 10 વર્ષના બાળકનું મોત:માતા સહિતના પરિવારજનોનું હૈયાફાટ રૂદન, વડોદરામાં બે કલાકના ગાળામાં બે અકસ્માતમાં બે બાળકોના મોત

વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં બે કલાકના ગાળામાં સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતોમાં બે બાળોકના મોત નિપજ્યા છે. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે પાણી ભરવા આવેલા ફાયર બ્રિગેડના ટેન્કરે અકસ્માત સર્જતા 10 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. બાળકના માતા પિતા સહિતના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણમાં આક્રંદ છવાયો હતો. જ્યારે અકસ્માતની બીજી ઘટના મકરપુરા વિસ્તારમાં બની હતી. જેમાં કાર અડફેટે આવી જતા સાત વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. ફાયરબ્રિગેડના ટેન્કરનું વ્હીલ ફરી વળતા બાળકનું મોતવડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકીએ પાણી ભરવા આવેલા ફાયરબ્રિગેડના ટેન્કરે 10 વર્ષના નાનકડા બાળક દીપકને કચડી નાખ્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દીપક શ્રમજીવી પરિવારનો દીકરો હતો. તે પાણી લેવા માટે ટાંકી પાસે ગયો હતો અને રોડ પર ઊભો હતો ત્યારે ફાયર બ્રિગેડના ટેન્કરે તેને ટક્કર મારી હતી. ટેન્કરના પૈડાં નીચે આવી જતાં બાળકને ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ થયું હતું. હોસ્પિટલમાં પરિવારજનોનું હૈયાફાટ રુદનમૃતક દીપકના પિતા દિનેશભાઈ તળપદાએ આક્ષેપ કર્યો છે કે, મારો પુત્ર રોડ પર ઊભો હતો ત્યારે ટેન્કરે તેને કચડી નાખ્યો. પરિવારના સભ્યો આ ઘટનાથી ભારે આઘાતમાં છે. માતા ગીતાબેને આક્રંદ સાથે જણાવ્યું હતું કે, મારો દીકરો ઉભો હતો અને ટેન્કરવાળાએ તેના પર ગાડી ચડાવી દીધી હતી. અમે બુમાબુમ કરી તેમ છતાં તેને સાંભળ્યું નહોતું. પાણીના ટેન્કરવાળા એ મારા છોકરા ને મારી નાખ્યો. ઘટના બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માતા-પિતા તથા અન્ય પરિવારજનોના હૈયાફાટ રુદનથી આખું હોસ્પિટલ પરિસર સન્નાટામાં ડૂબી ગયું હતું. માતા-પિતા અને નાના બાળકોએ પણ ભારે આક્રંદ કર્યું હતું. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. પિતા સાથે એક્ટિવા પર જઈ રહેલી 7 વર્ષીય દીકરીનું અકસ્માતમાં મોતવડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા પિતા પોતાની બે દીકરીઓને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે ઈનોવા અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ વેગનઆર કાર પોતાના એક્ટિવા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા પર સવાર જીયાન નામની 7 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક બાળકીનો આબાદ થયો હતો. રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, બાદમાં બંનેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બાળકી જીયાનને મૃત જાહેર કરી હતી.મકરપુરા વિસ્તારમાં થયેલા અકસ્માત કેસમાં ઇનોવા ચાલક અને વેગન આર ચાલકની માંજલપુર પોલીસે અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્ત પિતા લાલબાગ સ્વિમિંગ પુલમાં સફાઈ સેવા તરીકેનો ફરજ બજાવે છે. બંને બાળકો યાંશી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મૃતક બાળકી જીયાન પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે અને મોટી બાળકી ધારા બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:38 pm

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ખોડા ગામે ધાબળા વિતરણ:ખેતરોમાં રહેતા જરૂરિયાતમંદોને શિયાળાની ઠંડીથી બચાવવા ગરમ કપડાં અપાયા

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા થરાદ તાલુકાના ખોડા ગામે ખેતરોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને શિયાળાની કડકડતી ઠંડીથી બચાવવા માટે ધાબળા, ગરમ ટોપી અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્યનો મુખ્ય હેતુ ગરીબ અને વંચિત પરિવારોને ઠંડીથી સુરક્ષા પૂરી પાડવાનો હતો. ખેતરોમાં રહેતા લોકો પાસે શિયાળામાં જરૂરી ગરમ વસ્ત્રોની અછત હોય છે. આવા સમયે ધાબળા, ટોપી અને કપડાં મળવાથી તેમને ઠંડીથી રાહત મળે છે અને બીમારીઓથી બચાવ થાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ સહાય ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ વિતરણથી જરૂરિયાતમંદોને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ મળશે અને ઠંડી સંબંધિત બીમારીઓથી રક્ષણ મળશે. આરોગ્ય સારું રહેતાં તેઓ પોતાની દૈનિક મહેનત અને રોજગારની પ્રવૃત્તિઓ વધુ આત્મવિશ્વાસથી ચાલુ રાખી શકે છે. આ પ્રકારના વિતરણ કાર્યથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રહેતા લોકો કે જેઓ પાસે પૂરતા સાધનો અને સુવિધાઓ નથી, તેમને શિયાળાની કઠિન ઋતુમાં મોટી રાહત મળે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:34 pm

RMCના સેનેટરી સબ ઇન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા:સફાઈ કામદારની રજા સરભર કરવાના બદલામાં રૂ.2 હજારની માંગણી કરી પ્રથમ 1000 બાદ આજે બાકીના 1000 સ્વીકારતા ACBના હાથે ઝડપાયા

રાજકોટ મહાનગર પાલિકાના વર્ગ 3ના સેનેટરી સબ ઇન્સ્પેકટર રૂપિયા 1000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે. વોર્ડ નંબર 17માં ફરજ બજાવતા જીતેન્દ્ર ગડીયલએ સફાઈ કામદાર પાસે રજાઓ સરભર કરવા માટે રૂપિયા 2000ની માંગણી કરી હતી જે પૈકી રૂપિયા 1000 17.01.2026ના રોજ સ્વીકારી બાકી રહેતી રકમ રૂપિયા 1000 આજ રોજ સ્વીકારતા ACBના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા જેથી ACBએ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી ઉપરાંત અન્ય સફાઈ કામદારોએ પણ અગાઉ અધિકારીને રૂપિયા આપેલ હોવાના પુરાવા એસીબીને આપવામાં આવ્યા છે ત્યારે આરોપી દ્વારા અત્યાર સુધી કેટલી લાંચની રકમ સ્વીકાર કરવામાં આવેલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી આ કેસમાં ફરીયાદીની ઓકટોબર-નવેમ્બર 2025ની રજા સરભર કરવા માટે આરોપી જીતેન્દ્ર ગડીયલએ રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી અને જો લાંચની રકમ ન આપે તો નોકરીમાં હેરાન પરેશાન કરવા તેમજ બાકી રહેતી મળવાપાત્ર રજામાં કપાત કરવામાં આવે તેવા ડરથી તા.17.01.2026ના રોજ ફરીયાદી આરોપી જીતેન્દ્ર ગડીયલને મળી રૂ.1,000 આપ્યા હતા અને બાકીના રૂ.1,000 બે-ત્રણ દીવસમાં આપવાનું કહ્યું હતું આ સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ પણ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપી જીતેન્દ્ર ગડીયલએ ફરીયાદી સાથે વાતચીત કરી વોર્ડ નંબર 17ની અટિકા ફાટક પાસે આવેલ ઓફિસ ખાતે લાંચની રકમ રૂ.1,000 સ્વીકારી હતી જેથી તેઓ પંચોની હાજરીમાં લાંચ લેતા ઝડપાઇ જતા એસીબીએ તેની અટકાયત કરી ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય કેટલા લોકો પાસે કેટલા સમયથી કેટલી લાંચ મેળવી તે અંગે તપાસ શરૂ ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનહર પાલિકાના માત્ર આ એક ફરિયાદી નહિ પરંતુ અન્ય કેટલાક સફાઈ કામદારોએ પણ લાંચ લેતા ઝડપાયેલ સેનેટરી સબ ઇન્સ્પેકટરને જીતેન્દ્ર ગડીયલને રજાઓ સરભર કરવા તેમજ એનકેન પ્રકારે કો કારણો સર લાંચ આપી હોવાના પુરાવાઓ અંગે તપાસ ચાલી રહી છે ત્યારે હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી અન્ય કેટલા લોકો પાસે કેટલા સમયથી કેટલી રકમની લાંચ મેળવી છે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:58 pm

હિંમતનગરમાં દોરીના બદલામાં પક્ષીઘર:શિક્ષકનું અનોખું કરુણા અભિયાન, 145 કિલો દોરી એકત્રિત

હિંમતનગરમાં શિક્ષક પ્રફુલ પટેલ છેલ્લા ચાર વર્ષથી ઉત્તરાયણ પર્વ બાદ એક અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ રસ્તાઓ પર પડેલી નકામી પતંગની દોરીના બદલામાં લોકોને પક્ષીઘર, ચણ અને બર્ડ ફીડરનું વિતરણ કરે છે. આ પહેલનો મુખ્ય હેતુ પતંગની દોરીથી પક્ષીઓને થતી ઇજાઓ અટકાવવાનો છે. ઉત્તરાયણનો તહેવાર પતંગ રસિયાઓ માટે આનંદનો હોય છે, પરંતુ આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થાય છે. અનેક નિર્દોષ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાય છે અથવા મૃત્યુ પામે છે. રાજ્ય સરકાર પણ પક્ષીઓને બચાવવા માટે 'કરુણા અભિયાન' ચલાવે છે. હિંમતનગરની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈએ આ સમસ્યાનો ઉકેલ લાવવાનું બીડું ઝડપ્યું છે. ઉત્તરાયણ પછી ઝાડ પર, રસ્તાઓ પર કે ઘરના ધાબા પર પડેલી દોરીઓમાં પક્ષીઓના પગ, પાંખો કે ગળા ફસાય છે, જેના કારણે તેઓ તરફડીને મૃત્યુ પામે છે. આ સમસ્યાના નિરાકરણ માટે પ્રફુલભાઈએ વિચાર્યું કે જો લોકો પાસેથી આ દોરી એકઠી કરવામાં આવે અને બદલામાં તેમને પક્ષીઓ માટે ઉપયોગી ભેટ આપવામાં આવે, તો પક્ષીઓનો જીવ બચશે અને લોકોમાં જાગૃતિ પણ આવશે. તેમના આ અભિયાનને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2023માં શરૂ થયેલા આ અભિયાનમાં પ્રથમ વર્ષે 40 કિલોથી વધુ દોરી એકત્રિત થઈ હતી. બીજા વર્ષે 30 કિલો, ત્રીજા વર્ષે 40 કિલો અને આ વર્ષે 34 કિલો દોરી એકત્રિત કરવામાં આવી છે. આમ, છેલ્લા ચાર વર્ષમાં કુલ 145 કિલો જેટલી જીવલેણ દોરી પર્યાવરણમાંથી દૂર કરીને તેમણે અબોલ પક્ષીઓને નવજીવન આપ્યું છે. અગાઉના વર્ષોમાં એકત્રિત થયેલી દોરીને સળગાવીને નષ્ટ કરવામાં આવતી હતી. જોકે, દોરી સળગાવવાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે તે ધ્યાનમાં રાખીને, પ્રફુલભાઈ આ વર્ષે દોરીને સળગાવવાને બદલે તેનું રિસાયક્લિંગ કરી ફરીવાર ઉપયોગમાં લઈ શકાય તેવા ઉપાયો શોધી રહ્યા છે. આ પહેલ પર્યાવરણની જાળવણી માટે પણ મહત્વપૂર્ણ છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:57 pm

વાસણાની ધ બ્રાઇટ સ્કૂલમાં 25મો વાર્ષિક રમતોત્સવ:ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતાઓને ઈનામ વિતરણ

ધ બ્રાઇટ સ્કૂલ, વાસણા (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓનો ૨૫મો વાર્ષિક રમતોત્સવ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ, આત્મવિશ્વાસ અને ટીમ ભાવના વિકસાવવાનો હતો. રમતોત્સવનો પ્રારંભ અર્જુન, અશોક, પ્રતાપ અને શિવાજી એમ ચાર હાઉસ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટથી થયો. ત્યારબાદ રમતોત્સવની જ્યોત પ્રગટાવવામાં આવી અને વિદ્યાર્થીઓએ રમતભાવના તથા નિયમોના પાલન માટે શપથ લીધા. શાળાના પ્રમુખ સૌમિલ શાહે રમતોત્સવને સત્તાવાર રીતે ખુલ્લો જાહેર કર્યો. આ કાર્યક્રમમાં ફ્રી હેન્ડ ડ્રિલ અને ઝુંબા નૃત્ય જેવી આકર્ષક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. નાના વિદ્યાર્થીઓએ આ પ્રસ્તુતિઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો હતો. રમતોત્સવમાં માર્કર બેલેન્સિંગ, ઝીગ-ઝેગ રનિંગ, મૂન વોક, લેમન એન્ડ સ્પૂન રેસ, 50 મીટર દોડ, હર્ડલ રેસ અને સેક રેસ જેવી વિવિધ મેદાની સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની રમતકુશળતાનું પ્રદર્શન કર્યું. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ અને આચાર્યા દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળા વ્યવસ્થાપન, શિક્ષકવૃંદ, રમત શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોને બિરદાવવામાં આવ્યા. સુવ્યવસ્થિત આયોજનને કારણે આ રમતોત્સવ નાના વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:57 pm

ગોત્રીમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત:કારચાલક ટક્કર મારી ગલીમાં ગાડી ભગાવી ફરાર, ફરાર કારચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માગ

વડોદરા શહેર અને અકસ્માત એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વધું એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહરેના ગોત્રી પોલીસ સ્ટેશન હદમાં ગોત્રી તળાવ પાસે આવેલી પાણીની ટાંકી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાનું નામ અમરીતા પ્રજાપતિ તરીકે થઈ છે અને ગોત્રી પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. કારચાલક મહિલાને ફૂલઝડપે ટક્કર મારી ફરારપોલીસ અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, અમૃતાબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક કારચાલકે પૂરઝડપે આવીને તેમને ટક્કર મારી હતી. અકસ્માત ગાયત્રી સ્કૂલની બાજુમાં, સ્મશાન રોડ પર બન્યો હતો. ટક્કર બાદ કારચાલકે કારને સામેની ગલીમાં ભગાવીને ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે લોકો ભેગા થયા અને મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. અકસ્માત સર્જનાર વાહનચાલકની ગોત્રી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 'અમે હોસ્પિટલ લઈ ગયા પણ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું'મૃતક અમૃતાબેનના પતિ રામનયનભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, મારી પત્ની ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પૂરઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી અને કારચાલક તરત જ ફરાર થઈ ગયો હતો. અમે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત થયું હતું. ફરાર કારચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માગઅન્ય પરિવારજન પ્રેમપ્રકાશ પ્રજાપતિએ કહ્યું, અમારી એક જ માગ છે કે પોલીસ આ મામલે કડક તપાસ કરે અને અકસ્માત સર્જનારને વહેલી તકે પકડીને કાયદેસરની કડક કાર્યવાહી કરે અને અમને ન્યાય મળે તેવી આશા છે. આ મામલે ગોત્રી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:54 pm

બાપુનગરમાં 21 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન:શ્રી હરદાસ બાપુ ટ્રસ્ટ દ્વારા 57મા સમૂહ લગ્નનું આયોજન કરાયું

બાપુનગર ખાતે શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા 18 જાન્યુઆરી, 2026ના રોજ 57મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 21 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ સમૂહ લગ્નમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રીજીતુભાઈ વાઘાણી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય કંચનબેન રાદડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સમાજના પ્રમુખ દિલીપભાઈ કોઠીયા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ અમદાવાદના પ્રમુખ પરસોતમભાઈ કકાણી, ટ્રસ્ટી વલ્લભભાઈ કાકડીયા સહિત અનેક ઉદ્યોગપતિઓ અને દાતાઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા દરેક દીકરીને સવા લાખ રૂપિયાનો કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:51 pm

ભાવનગરના બાળકોએ ચાઈનીઝ દોરીનો નાશ કર્યો:મકરસંક્રાંતિ પર પક્ષી-માનવ સુરક્ષા માટે જાગૃતિ અભિયાન હેઠળ આયોજન કરાયું

ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળા નંબર 56ના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે એક અનોખું જાગૃતિ અભિયાન ચલાવ્યું. બાળકોએ વિસ્તારમાંથી ચાઈનીઝ માંજા અને અન્ય જોખમી પતંગની દોરીઓ એકત્રિત કરીને તેનો નાશ કર્યો. આ અભિયાનનો મુખ્ય હેતુ પક્ષીઓ, પ્રાણીઓ અને માનવીય સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાનો હતો, કારણ કે આવી દોરીઓ અકસ્માતોનું કારણ બને છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભરતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ શિક્ષકો ભગીરથભાઈ પાલીવાલ, જયેશભાઈ બારૈયા અને મનીષાબેન પટેલે વિશેષ ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિસ્તારમાંથી માંજા એકત્ર કર્યા અને તેને શાળા પરિસરમાં એક જગ્યાએ લાવીને આગમાં સળગાવ્યા. સૌથી વધુ માંજા લાવનાર બાળકને વિશેષ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેથી અન્ય બાળકોમાં પણ આવા અભિયાનોમાં ભાગ લેવાનો ઉત્સાહ વધે. આ અભિયાન દ્વારા શાળા પરિવારે સમાજને સંદેશ આપ્યો કે તહેવારોની ઉજવણી દરમિયાન આનંદની સાથે પર્યાવરણ અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આચાર્ય ભરતભાઈ પરમારે જણાવ્યું હતું કે, આવા અભિયાનો થકી બાળકોમાં જાગરૂકતા વધે છે અને તેઓ સમાજના જવાબદાર નાગરિક બને છે. આ પ્રયાસોને વધુ પ્રસારિત કરીને અન્ય શાળાઓને પણ પ્રેરણા મળે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:50 pm

પંચમહાલમાં CCTV કેમેરા ફરજિયાત:જાહેર સુરક્ષા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

પંચમહાલ જિલ્લામાં જાહેર સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત જિલ્લાના વધુ અવરજવરવાળા અને અગત્યના તમામ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે. આ પગલું અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવા, ગુનાખોરી અટકાવવા અને તપાસ એજન્સીઓને ગુના ઉકેલવામાં મદદરૂપ થવા માટે લેવામાં આવ્યું છે. જાહેરનામામાં ઉલ્લેખ કરાયેલા સ્થળોમાં હાઈવે પરની હોટલો, ધર્મશાળાઓ, પેટ્રોલપંપો, ટોલ પ્લાઝાઓ, હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેન્કિંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્સ થિયેટર, લોજિંગ, બોર્ડિંગ, આંગડિયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોનો સમાવેશ થાય છે. સંબંધિત માલિકો, ટ્રસ્ટીઓ અને વહીવટકર્તાઓને આ વ્યવસ્થા ગોઠવવા આદેશ કરાયો છે. કેમેરાની વ્યવસ્થા અંગે, ટોલ પ્લાઝાઓ અને પેટ્રોલપંપો પર વાહનનો રજીસ્ટ્રેશન નંબર તેમજ વાહનચાલક અને તેની બાજુમાં બેઠેલી વ્યક્તિ સ્પષ્ટ દેખાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે. બેન્કિંગ સંસ્થાઓ, આંગડિયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા-જતા તમામ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તેવા સી.સી.ટી.વી. કેમેરા, નાઈટ વિઝન અને હાઈ ડેફિનેશન સુવિધા સાથે લગાવવાનો હુકમ કરાયો છે. આ કેમેરા સાથે રેકોર્ડિંગ સિસ્ટમની વ્યવસ્થા પણ ફરજિયાત છે. રેકોર્ડ થયેલો ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સંગ્રહિત કરવો પડશે અને તેની દેખરેખની જવાબદારી જે-તે સ્થળના સંચાલકની રહેશે. બિલ્ડિંગના બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા, તમામ પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ કવરેજ થાય તે રીતે કેમેરા, તેમજ રિસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ અને જાહેર જનતા માટે પ્રવેશ હોય તેવી તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા પણ જાહેરનામામાં જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:48 pm

રૂ. 84 લાખનાં સ્થળાંતર ખર્ચનો વિવાદ યથાવત:રાજકોટ જિ. પં. ઉપપ્રમુખે કહ્યું- તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યો પણ મને વિગતો ખબર નથી ! કાર્યપાલક ઇજનેરે કર્યું તપાસ ચાલુનું રટણ, રૂ. 30 કરોડથી વધુના

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ. 30 કરોડના કામો મંજુર, પણ ‘સ્થળાંતર ખર્ચ’ વિવાદ હજુ યથાવત છે. આજે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રૂ. 30 કરોડથી વધુના 51 જેટલા વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જોકે, આ બેઠક માત્ર વિકાસલક્ષી નિર્ણયો માટે જ નહીં, પણ લાંબા સમયથી ચાલી રહેલા ‘સ્થળાંતર ખર્ચ’ વિવાદને કારણે પણ ચર્ચામાં રહી હતી. સત્તધીશો પાસે વિવાદ અંગે કોઈ સચોટ જવાબ ન હોવાનું સામે આવ્યું છે, જેનાથી ભ્રષ્ટાચારની આશંકાઓ વધુ ઘેરી બની છે. આ મામલે આજે જિલ્લા પંચાયત ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, રૂ. 84 લાખના સ્થળાંતર ખર્ચ અંગે તપાસ કમિટી નીમવામાં આવી હતી. જેનો રિપોર્ટ આવી ગયો છે પણ તેની વિગતો મને ખબર નથી. આમ કહીને કાર્યપાલક ઈજનેર ઉપર જવાબદારી નાખી દીધી હતી. જ્યારે કાર્યપાલક ઈજનેર એ માત્ર 19 લાખનો હિસાબ મળ્યો હોવાનું અને તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. સ્થળાંતર ખર્ચ વિવાદ: સવાલોનાં ગોળ-ગોળ જવાબો સમાચારના કેન્દ્રમાં રહેલો મુખ્ય મુદ્દો ‘સ્થળાંતર ખર્ચ’નો વિવાદ છે. રૂ. 84 લાખના કથિત ખર્ચ પૈકી માત્ર રૂ. 19 લાખનો જ હિસાબ મળી શક્યો છે, જે મોટા કૌભાંડ તરફ ઇશારો કરે છે. ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તપાસ કમિટીનો રિપોર્ટ આવી ગયો છે, પરંતુ તેમને હજુ તેની પૂરી વિગતોની જાણ નથી. બાકીના બિલોની ચુકવણી હજુ થઈ નથી અને આ મુદ્દે વધુ સ્પષ્ટતા માટે જવાબદારી કાર્યપાલક ઈજનેર પર ઢોળી દીધી હતી. રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર સંજય પટેલે સ્થળાંતર ખર્ચની તપાસ વિશે માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં એજન્સીને પેવર બ્લોક અને બિલ્ડિંગના કામો પેટે રૂ. 19 લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે. આ ચૂકવાયેલા બિલો અંગેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યો છે. ઉપરાંત એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા અન્ય બિલોની હાલ ચકાસણી ચાલી રહી છે જે આગામી કારોબારી સમિતિમાં મંજૂરી અર્થે મૂકવામાં આવશે. રૂ. 84 લાખના ખર્ચ સામે છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી આ તપાસ અંગે તેમણે જણાવ્યું હતું કે, જો બિલોમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે ગેરરીતિ જણાશે તો નિયમ અનુસાર કડક પગલાં લેવામાં આવશે. હાલમાં તપાસની પ્રક્રિયા ચાલુ છે અને તમામ બિલોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ આખરી અહેવાલ તૈયાર કરવામાં આવશે. આમ કૌભાંડના ગંભીર આક્ષેપો વચ્ચે સતાધીશો દ્વારા અપાયેલા આ અસ્પષ્ટ જવાબોથી વિવાદ વધુ વકર્યો છે. બીજીતરફ કાર્યપાલક ઈજનેર દ્વારા પણ રૂ. 84 લાખથી વધુના ખર્ચ સામે 3 મહિનામાં માત્ર 19 લાખના ખર્ચની જ તપાસ થઈ હોવાનો અને બાકી તપાસ ચાલુ હોવાનો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે. સાથે આશ્વાસન આપવા જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાત્રીઓ આપવામાં આવી રહી છે. ત્યારે શું આ વિવાદમાં કોઈ મોટી માછલીઓની સંડોવણી છે? તેમજ શું ખરેખર રૂ. 84 લાખનો ખર્ચ કાયદેસર છે કે કેમ, તે પ્રશ્ન હજુ યથાવત છે. કારોબારી બેઠકમાં મંજુર થયેલા વિકાસના કામો આજની કારોબારી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવેલા કુલ રૂ. 30.55 કરોડના કામોમાં મુખ્યત્વે બાંધકામ, સિંચાઈ, પશુપાલન અને આરોગ્ય વિભાગનો સમાવેશ થાય છે. જેમાં બાંધકામ શાખાનાં સૌથી વધુ રૂ. 23.10 કરોડના ખર્ચે વિવિધ કામો મંજુર થયા છે. જેમાં 12 આંગણવાડી બિલ્ડીંગ, 32 ગ્રામ પંચાયત બિલ્ડીંગ, 1 પશુ દવાખાનું અને 19 જેટલા રસ્તાઓના કામો હાથ ધરાશે. સિંચાઈ વિભાગનાં રૂ. 7.41 કરોડના ખર્ચે 12 કામો મંજુર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 કામોને વહીવટી મંજૂરી અપાઈ છે. બીજીતરફ પશુપાલન શાખા માટે રૂ. 3.10 લાખના ખર્ચે નવા કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટરની ખરીદી અને 7 નવા પશુ દવાખાનાની સ્થાપના ઉપરાંત 1 પશુ સારવાર કેન્દ્રના સ્થળાંતરને મંજૂરી અપાઈ છે. જ્યારે આરોગ્ય વિભાગ માટેનાં સ્ટાફ ક્વાર્ટર અને પેટા આરોગ્ય કેન્દ્રોના જર્જરિત મકાનોના નિકાલ (ડિસમેન્ટલ) કરવાની, બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા માટે મંજૂરી આજે કારોબારી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આજની આ બેઠકમાં કારોબારી ચેરમેન પી. જી. ક્યાડા બીમારીના કારણે ગેરહાજર રહ્યા હતા, જ્યારે ભુપતભાઇ બોદર અને અશ્વિનાબેન ડોબરીયા પણ ગેરહાજર રહ્યા હતા. કાર્યકારી અધ્યક્ષ વિરલ પનારાએ બેઠકનું સંચાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્થળાંતર કૌભાંડ બાબતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગરને સવાલો કરતા તેને રીતસર પરસેવો વળી ગયો હતો. સ્થળાંતર કૌભાંડ મુદ્દે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ એકબીજા પર જવાબદારીની ફેંકાફેકી કરી રહ્યા છે. અને સ્થળાંતરમાં થયેલા ખર્ચ અંગે કોઈ ચોક્કસ જવાબ જ આપવામાં આવતા નથી. ત્યારે શું જિલ્લા પંચાયતમાં બધું લોલમલોલ ચાલે છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. તેમજ શું જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે પછી ભીનુ સંકેલી લેવામાં આવશે ? તેવી વાતો ચર્ચાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:42 pm

ઓમ મુરુગા સ્કૂલમાં પોંગલ પર્વની ઉજવણી:વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં લીધો ભાગ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અમદાવાદના હાટકેશ્વર સ્થિત ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં 18 જાન્યુઆરી, 2026ના રોજ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ તહેવાર પોંગલની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. પોંગલ પર્વ પાકોત્સવ અને કૃતજ્ઞતાનું પ્રતીક છે, જે પ્રકૃતિ તથા અન્નદાતા પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ભાગ લીધો હતો. શાળા પરિસરમાં રંગોળી સ્પર્ધા, પોંગલ બનાવવાની વિધિનું નિદર્શન, તમિલ સંસ્કૃતિ અંગે માહિતીસભર પ્રવચનો અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને એકતા વિશે જાગૃત કરવાનો હતો.શાળાના આચાર્ય અને શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને પોંગલ તહેવારનું મહત્વ સમજાવ્યું હતું અને ભારતીય પરંપરાઓનું સન્માન કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના સમાપ્તિ બાદ, ઉપસ્થિત સૌએ પરંપરાગત પોંગલ પ્રસાદનો સ્વાદ માણ્યો હતો.આ પ્રકારની સાંસ્કૃતિક ઉજવણીઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક જાગૃતિ, સહઅસ્તિત્વની ભાવના અને ભારતીય મૂલ્યોનો વિકાસ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:42 pm

વેપારીની પત્નીને DRIની બીક બતાવી પૂર્વ કર્મચારીએ લૂંટ ચલાવી:તપાસના નામે ડરાવી દાગીના લોકરમાં મૂકાવ્યા, ચાવી ખોવાયાનું નાટક કરી દાગીના લઈ ફરાર

સુરતના અલથાણ વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા વેપારી સંજય મહેશ્વરીના ત્યાં આશરે 9 વર્ષ સુધી કામ કરનાર પૂર્વ કર્મચારી લવકુશ ઉર્ફે ચંદન શુક્લાએ જ આખા પરિવારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. આરોપીએ વેપારીની ગેરહાજરીમાં તેની પત્ની દીપ્તિબેનનો વિશ્વાસ જીતી લીધો હતો. વર્ષો સુધી સાથે કામ કર્યું હોવાથી પરિવાર તેના પર આંધળો વિશ્વાસ કરતો હતો, જેનો લવકુશે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ગેરલાભ ઉઠાવ્યો અને સમગ્ર પરિવારને આર્થિક તેમજ માનસિક મુશ્કેલીમાં મૂકી દીધો છે. જો દાગીના ઘરમાં રહેશે તો અધિકારીઓ તેને જપ્ત કરી લેશેઅલથાણ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે વેપારી સંજયભાઈ પર DRI વિભાગની તપાસ આવી ત્યારે લવકુશે દીપ્તિબેનને ડરાવવાનું શરૂ કર્યું હતું. તેણે ખોટી વાતો કરી કે, જો દાગીના ઘરમાં રહેશે તો અધિકારીઓ તેને જપ્ત કરી લેશે અને સંજયભાઈ વધુ મોટી મુસીબતમાં ફસાશે. તપાસના ડરથી ફફડી ગયેલા દીપ્તિબેનને તેણે સલાહ આપી કે દાગીના કોઈ સુરક્ષિત લોકરમાં મૂકી દેવા જોઈએ. એટલું જ નહીં, તેણે એવું પણ સમજાવ્યું કે જો દીપ્તિબેન પોતાના નામે લોકર ખોલાવશે તો તે પણ તપાસના દાયરામાં આવી જશે, તેથી તેણે દાગીના પોતાના નામે લોકરમાં રાખવા મનાવી લીધા હતા. આરોપીએ માસ્ટર માઈન્ડની જેમ ખેલ પાડ્યો હતોઆરોપી લવકુશે વેસુ વિસ્તારના એક સેફ ડિપોઝિટ વોલ્ટમાં પોતાના નામે લોકર ખોલાવ્યું અને દીપ્તિબેન તથા તેમની સાસુના લાખોની કિંમતના સોનાના દાગીના તેમાં મુકાવી દીધા. દાગીના મુકાયા બાદ આરોપીએ માસ્ટર માઈન્ડની જેમ ખેલ પાડ્યો હતો. તેણે લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કરી મેનેજમેન્ટ પાસે બીજું લોક નંખાવ્યું અને તેની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. આમ, દાગીના લોકરમાં હોવા છતાં તેની સત્તાવાર ચાવી અને એક્સેસ માત્ર લવકુશ પાસે જ રહી ગયું હતું, જેની જાણ પરિવારને ઘણી મોડી થઈ હતી. દાગીના પરત કરવાના બદલામાં 54 લાખની ખંડણી માગીજ્યારે દીપ્તિબેનને શંકા ગઈ અને તેમણે લોકર જોવા અથવા દાગીના પરત લેવાની વાત કરી ત્યારે લવકુશનો અસલી ચહેરો સામે આવ્યો હતો. તે નોકરી છોડીને ફરાર થઈ ગયો અને ફોન પર ધમકીઓ આપવા લાગ્યો હતો. તેણે દાગીના પરત કરવાના બદલામાં રૂપિયા 54 લાખની માતબર રકમની ખંડણી માંગી હતી. જો આ પૈસા આપવામાં નહીં આવે તો તેણે વેપારીના દીકરાઓને જાનથી મારી નાખવાની પણ ઉઘાડી ધમકી આપી હતી. આ સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને અંતે પોલીસનો સહારો લેવાનું નક્કી કર્યું હતું. કોલ ડિટેલ્સના આધારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાઆ મામલે દીપ્તિબેને અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લવકુશ ઉર્ફે ચંદન બજરંગશરણ શુક્લા વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ તે ફરાર છે. પોલીસે લોકરના CCTV અને કોલ ડિટેલ્સના આધારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:41 pm

BBNG ગ્લોબલ દ્વારા વડોદરામાં પરિવર્તન 2026 કર્ટન રેઝર યોજાયું:પુણેમાં યોજાનાર રાષ્ટ્રીય પરિષદ માટે બ્રાહ્મણ ઉદ્યોગસાહસિકોમાં ઉત્સાહ

BBNG ગ્લોબલ દ્વારા વડોદરામાં 'પરિવર્તન 2026 કર્ટન રેઝર' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટ હોટેલ ઇકો સત્વા, સામા–સાવલી રોડ ખાતે યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યાપારિક નેટવર્ક સંસ્થા BBNG ગ્લોબલ બ્રાહ્મણ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના મોટી સંખ્યામાં બ્રાહ્મણ વ્યવસાયિક ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાહ્મણ વ્યવસાય સમુદાયને સંગઠિત કરીને વ્યવસાયિક ઉન્નતિ અને પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઇવેન્ટ પુણેમાં યોજાનાર 'પરિવર્તન 2026' રાષ્ટ્રીય પરિષદ માટે મજબૂત પાયો નાખવા માટે હતી. BBNG ગ્લોબલનું ધ્યેય બ્રાહ્મણ સમુદાયના વ્યવસાયિક વિકાસ, વિસ્તરણ અને સ્થાયિત્વ માટે વિશ્વાસ આધારિત સંબંધો અને સંરચિત નેટવર્કિંગ દ્વારા સહાય પૂરી પાડવાનું છે. સંસ્થા 'સમર્થ બ્રાહ્મણ, સંપન્ન બ્રાહ્મણ અને સમૃદ્ધ બ્રાહ્મણ'ના 3S સિદ્ધાંતમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે, જે BBNGના તમામ કાર્યક્રમોનો આધાર છે. કાર્યક્રમ દરમિયાન, BBNG વડોદરા ચેપ્ટરની નેતૃત્વ ટીમ અને પુણે સ્થિત હેડ ઓફિસના પ્રતિનિધિઓએ 'પરિવર્તન' પહેલની રૂપરેખા રજૂ કરી. 'પરિવર્તન' એ રાષ્ટ્રીય સ્તરની સંરચિત વ્યવસાયિક રૂપાંતરણ પહેલ છે. આ પહેલ શિસ્તબદ્ધ નેટવર્કિંગ, નૈતિક વ્યવસાય, ક્રોસ-ચેપ્ટર સહયોગ અને દીર્ઘકાલીન મૂલ્ય સર્જન પર કેન્દ્રિત છે, જેનો હેતુ બ્રાહ્મણ વ્યવસાયિકોને એક મંચ પર લાવવાનો છે. પુણે હેડ ઓફિસની 'પરિવર્તન' કોર ટીમની હાજરીએ કાર્યક્રમને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો. આનાથી તમામ ચેપ્ટરોમાં એકસરખા ધોરણો અને વ્યાપકતાનું મહત્વ રેખાંકિત થયું. આ કાર્યક્રમ દરમિયાન નવા સભ્યો પણ BBNG સાથે જોડાયા હતા. તેમણે પુણે ખાતે યોજાનાર 'પરિવર્તન 2026' પરિષદમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વક્તાઓ અને મહેમાનો દ્વારા BBNG વડોદરા ચેપ્ટરની વિશેષ પ્રશંસા કરવામાં આવી. વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં કાર્યરત સભ્યોની હાજરીએ નેટવર્કિંગ અને પરસ્પર સહયોગની સાચી શક્તિ દર્શાવી. આ પ્રકારના સહકાર અને વિશ્વાસને કારણે BBNG એક વિશ્વસનીય અને અસરકારક વ્યવસાયિક પ્લેટફોર્મ તરીકે વિકસી રહ્યું છે. BBNG વડોદરા ચેપ્ટરે 'પરિવર્તન 2026'ની ભવ્ય સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. તેમણે આગામી વર્ષોમાં ગુજરાતમાં 'પરિવર્તન' કાર્યક્રમ આયોજિત કરવાની દૃઢ ભાવના પણ વ્યક્ત કરી. BBNGના રાષ્ટ્રીય નેતૃત્વના દ્રષ્ટિવાન આયોજન અને પૂર્વ તૈયારી માટે પણ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી. જે ઉદ્યોગસાહસિકો સંરચિત, નૈતિક અને સહાયક વ્યવસાયિક નેટવર્ક દ્વારા પોતાનો વ્યવસાય વિસ્તૃત કરવા ઈચ્છે છે, તેમને BBNG સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:40 pm

માનવ મેઘ સંસ્થાએ સિવિલ હોસ્પિટલમાં સેવા આપી:મકરસંક્રાંતિના પર્વ પર લાડુ, ચીકી, ઊંધિયું, જલેબી સહિતની વાનગીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે માનવ મેઘ સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા અંતર્ગત પાવ, તલના લાડુ, મમરાના લાડુ, તલની ચીકી, ઊંધિયું, જલેબી અને પૂરી જેવી વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના 'સિંઘમ' તરુણભાઈ બારોટ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શંકરભાઈ, નરેન્દ્રસિંહ સોલંકી, હર્ષકુમાર સોલંકી, વિવેકભાઈ પટેલ અને જયંતિભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ પણ સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:39 pm

સુરત જિલ્લા ન્યાયાલય માટે જમીન ફાળવવા સી.આર. પાટીલને રજૂઆત:મરઘા કેન્દ્રની જમીન અને નોટરીના પ્રશ્નો અંગે વકીલ મંડળના પ્રમુખની દિલ્હીમાં બેઠક

સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સુરત જિલ્લા ન્યાયાલયના વિસ્તરણ માટે મરઘા કેન્દ્રની જમીન ફાળવવાની માંગણી કરવાનો હતો. વકીલોએ રજૂઆત કરી હતી કે કોર્ટની કામગીરી અને પક્ષકારોની સુવિધા માટે આ જમીન અત્યંત જરૂરી છે. જમીન ફાળવણીના વિષય પર સત્વરે હકારાત્મક નિર્ણય લેવાશે- પાટીલવકીલ મંડળના જણાવ્યા મુજબ આ રજૂઆત બાદ સી.આર. પાટીલે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. તેમણે પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી સાથે રૂબરૂ વાત કરશે અને જમીન ફાળવણીના વિષય પર સત્વરે હકારાત્મક નિર્ણય લેવા માટે જણાવશે. મંત્રીના આ આશ્વાસનથી વકીલ મંડળમાં નવી આશા જન્મી છે અને લાંબા સમયથી પડતર આ પ્રશ્નનો ઉકેલ આવવાની શક્યતા વધી છે. નોટરીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈજમીન ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા નિમવામાં આવેલા નોટરીઓના વિવિધ પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે સી.આર. પાટીલે તાત્કાલિક પગલાં લેતા તેમના અંગત સચિવને બોલાવીને કાયદા મંત્રીને ભલામણ કરવા માટે સૂચના આપી હતી. નોટરીઓના વ્યાવસાયિક પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રીએ દાખવેલી તત્પરતાને વકીલ મંડળે આવકારી હતી. સુરતના વકીલો અને પક્ષકારો માટે સારા સમાચાર મળવાની શક્યતાઆ મુલાકાત દરમિયાન મંડળના મંત્રી મુકુંદ રામાણી, વરિષ્ઠ વકીલ કલ્પેશ દેશાઈ, માજી સરકારી વકીલ જતિન ગાંધી તેમજ વકીલ વિરાજ સુર્વે અને ભૂષણ વાનખેડે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મુલાકાત સફળ રહી હોવાનું જણાવાયું છે. સાથે જણાવ્યું છે કે, આગામી ટૂંક સમયમાં સુરતના વકીલો અને પક્ષકારો માટે આ મામલે કોઈ સારા સમાચાર મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:39 pm

સુરતની શાળાઓમાં વર્મીકમ્પોસ્ટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓ-શિક્ષકોને જૈવિક ખાતર બનાવવાની પ્રક્રિયા શીખવાઈ

સુરતની નગર પ્રાથમિક શાળા નં. 153, 154, 149, 105 અને સુમન-4 માં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે વર્મીકમ્પોસ્ટ (કોમ્પોસ્ટ ખાતર) વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, સુરત દ્વારા દત્તક લેવાયેલી આ શાળાઓમાં 18 જાન્યુઆરી, 2026 ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્મીકમ્પોસ્ટ નિષ્ણાત સુનિલ ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બાળકોને જૈવિક કચરાનો ઉપયોગ કરીને ખાતર કેવી રીતે બનાવવું, વર્મીકમ્પોસ્ટની પ્રક્રિયા અને તેના પર્યાવરણલક્ષી ફાયદાઓ વિશે સરળ અને રસપ્રદ રીતે સમજાવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને જૈવિક ખેતી અંગેની સમજણ આપવાનો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:37 pm

બોટાદમાં સરકારી વાહનચાલકો માટે માર્ગ સલામતી સેમિનાર:ARTO દાણીના માર્ગદર્શન હેઠળ 100 ડ્રાઇવરોને તાલીમ અપાઈ

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ભાગરૂપે બોટાદ જિલ્લામાં સરકારી વાહનચાલકો માટે માર્ગ સલામતી સેમિનાર યોજાયો હતો. બોટાદ જિલ્લા ARTO કુ. આર. પી. દાણી અને RTO ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં જિલ્લાના વિવિધ વિભાગોમાંથી આશરે 100 જેટલા સરકારી વાહનચાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી વાહનચાલકોમાં સલામત અને જવાબદાર ડ્રાઇવિંગ અંગે જાગૃતિ લાવવાનો હતો. સેમિનારમાં ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળના નિષ્ણાત નિનાદ આઠલે અને SPIPAના ફેકલ્ટી મોહિલે સુપથ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. બંને નિષ્ણાતોએ માર્ગ અકસ્માતોના કારણો, ટ્રાફિક નિયમોનું મહત્વ, સલામત ડ્રાઇવિંગ, ગતિ નિયંત્રણ અને મોબાઇલ ફોનના ઉપયોગથી થતા જોખમો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં સરકારી વાહનચાલકો સમાજ માટે રોલ મોડલ બને અને માર્ગ સલામતીમાં સક્રિય ભૂમિકા ભજવે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:32 pm

ગોધરામાં ટ્રક-ઈકો કાર અકસ્માત, સુરતની મહિલાનું મોત:ઉદયપુરથી પરત ફરતા પરિવારના બે સભ્યો ઘાયલ

ગોધરાના બામરોલી રોડ ચોકડી પાસે આજે ટ્રક અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સુરતના એક પરિવારની મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે સભ્યો ઘાયલ થયા છે. સુરતના રહેવાસી અમૃતભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુર ખાતે તબીબી સારવાર કરાવીને પોતાની ઈકો કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ગોધરાના બામરોલી રોડ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો કારને ભારે નુકસાન થયું હતું. કારમાં સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મહિલાની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે વડોદરા લઈ જતી વખતે હાલોલ નજીક રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું. આ ઘટનામાં કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી છે. હાલમાં બંને ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:22 pm

રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 21મીથી ફિઝિકલ ટેસ્ટ:10 લાખ ઉમેદવારો ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે, ગ્રાઉન્ડ ઈન્ચાર્જ તરીકે SP કક્ષાના અધિકારીને નિયુક્ત કરાયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડરની 858 અને લોકરક્ષક (Lokrakshak) કેડરની 12,733 જગ્યાઓ સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. આ ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ, SRP જૂથો અને તાલીમ કેન્દ્રોમાં શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) માટે 21 જાન્યુઆરી 2026થી બોલાવવામાં આવશે. પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 13 માર્ચ 2026 સુધી યોજાશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે. SP કક્ષાના અધિકારીના ગ્રાઉન્ડ ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરાયાદરેક ગ્રાઉન્ડ પર નાયબ પોલીસ મહાનિરીક્ષક અથવા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમની મદદ માટે 90થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. ઉપરાંત, દરેક ગ્રાઉન્ડની દેખરેખ માટે DIGP અથવા IGP કક્ષાના અધિકારીને સુપરવિઝન અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. દોડ કસોટી દરમિયાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની નજર હેઠળ યોજાશે. શારીરિક માપ કસોટીમાં પુરુષ ઉમેદવારોની ઊંચાઈ અને છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઊંચાઈની માપણી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયોતમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. શારીરિક કસોટીના માપદંડ મુજબ પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મિનિટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે. ઊંચાઈના માપદંડ મુજબ અનુસૂચિત જનજાતિ (ST)ના પુરુષ ઉમેદવારો માટે 162 સે.મી. અને અન્ય માટે 165 સે.મી. ઊંચાઈ ફરજિયાત છે. મહિલા ઉમેદવારોમાં ST માટે 150 સે.મી. અને અન્ય માટે 155 સે.મી. ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. તમામ પુરુષ ઉમેદવારોની છાતીનું ન્યૂનતમ માપ 79 સે.મી. અને ફુલાવા સાથે 84 સે.મી. હોવું જરૂરી છે. PSI કેડર માટે ઉમેદવાર પાસે સ્નાતક અથવા સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે, જ્યારે લોકરક્ષક કેડર માટે ધોરણ-12 અથવા સમકક્ષ લાયકાત રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:16 pm

શિક્ષાપત્રી મંથન:જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરે તે સાચો બુદ્ધિશાળી

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે, તે જ સાચો બુદ્ધિશાળી છે. તેમણે આ વાત શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી પ્રસંગે યોજાયેલા 'શિક્ષાપત્રી મંથન' કાર્યક્રમમાં કહી હતી.સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્પષ્ટતા કરી કે, મોટાભાગના લોકો પોતાને બુદ્ધિશાળી માને છે, પરંતુ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ બુદ્ધિશાળી તે છે જે મોક્ષ સંબંધી કાર્ય સિદ્ધ કરી લે. બુદ્ધિનું ફળ એ જ છે કે જે કાર્ય માટે મનુષ્ય જન્મ મળ્યો છે, તે કાર્ય કુશળતાપૂર્વક પૂર્ણ કરવું. તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના શિક્ષાપત્રી ગ્રંથનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભક્તિ અને સત્સંગ વિનાનો ગમે તેવો વિદ્વાન માણસ પણ અધોગતિને પામે છે. આ ઉપદેશ મનુષ્ય જીવનના અંતિમ લક્ષ્ય તરફ ધ્યાન દોરે છે. આ સંદર્ભે એક પ્રેરણાદાયી પ્રસંગ વર્ણવતા તેમણે જણાવ્યું કે, જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન માંગરોળ પધાર્યા હતા, ત્યારે કબો નામનો એક વ્યક્તિ ધૂળનો વેપાર કરતો હતો, જેનું મગજ છટકી ગયું હતું. આ જોઈને શ્રી હરિએ કહ્યું હતું કે, જે ભગવાનનું ભજન નથી કરતો તે આ કબા જેવા ગાંડા જ છે.આમ, સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી ભગવાનનું ભજન કરીને મોક્ષ પ્રાપ્ત કરવો એ જ બુદ્ધિનું સાચું ફળ છે અને જીવનનો પરમ ઉદ્દેશ્ય છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:16 pm

24 કલાકમાં ચાર બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:જુનાગઢ માંથી 3 દિવસમાં 4 વાહનો ચોરનાર તસ્કર કેયુર જેઠવા મુદ્દામાલ સાથે ઝડપાયો, 'એ' ડિવિઝન પોલીસની મોટી સફળતા

જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વાહન ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે 'એ' ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે માત્ર 24 કલાકમાં જ અગાઉ વણઉકેલાયેલા વાહન ચોરીના 4 ગુનાઓ ડિટેક્ટ કરી એક આરોપીને કુલ રૂ.1,70,000 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી કેયુર જેઠવાએ છેલ્લા ત્રણ દિવસમાં શહેરના દાતાર રોડ, વાંઝાવાડ અને ગણેશનગર જેવા વિસ્તારોમાંથી એક સુઝુકી બર્ગમેન, એક એક્ટિવા અને બે સ્પ્લેન્ડર બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તમામ વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયો આરોપી ​મિલકત વિરુદ્ધના ગુનાઓ રોકવા રેન્જ આઈજી નિલેષ જાંજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન પીઆઈ વી.જે. સાવજ અને પીએસઆઈ વાય.એન. સોલંકીની ટીમ કાર્યરત હતી. દરમિયાન બી-ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ હુંબલને બાતમી મળી હતી કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં એક્ટિવા દોરીને ચિતાખાના ચોક તરફ જઈ રહ્યો છે. આ હકીકતને આધારે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી અમરજ્યોત એપાર્ટમેન્ટ, નાગર રોડ પર રહેતા આરોપી કેયુર સંદીપભાઈ જેઠવાને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. ​ત્રણ દિવસમાં ચાર વાહનો પર હાથફેરો કર્યો ​પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી હતી કે તેની પાસે રહેલું એક્ટિવા તેણે વાંઝાવાડ શાક માર્કેટ પાસેથી ચોર્યું હતું. આ ઉપરાંત, તેણે છેલ્લા ત્રણ દિવસમાં અન્ય ત્રણ વાહનો પણ ચોર્યા હોવાનું સ્વીકાર્યું હતું, જે તેણે પોતાના ઘરે છુપાવી રાખ્યા હતા.પોલીસ તપાસમાં તેના ઘરેથી સુઝુકી બર્ગમેન કિંમત રૂ. 40,000 ,હોન્ડા એક્ટિવારૂ. 50,000, બે હીરો સ્પ્લેન્ડર કિંમત રૂ. 80,000 મળી કુલ 1,70,000 લાખનો મુદામાલ કબજે કર્યો છે ​આ કામગીરીમાં પીઆઈ વી.જે. સાવજ, પીએસઆઈ વાય.એન. સોલંકી, એએસઆઈ પંકજભાઈ સાગઠીયા, તેમજ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ, અનકભાઈ, હિતેશભાઈ, જીજ્ઞેશભાઈ, નીતિનભાઈ, જયેશભાઈ અને નરેન્દ્રભાઈ જોડાયા હતા. બી-ડિવિઝન પોલીસના મનીષભાઈ હુંબલની સતર્કતાને કારણે આ આખું રેકેટ પકડવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:16 pm