ભોડદરમાં જુગાર પર પોલીસની રેડ, 7 ઝડપાયા:2.76 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 આરોપી ફરાર
રાણાવાવ પોલીસે ભોડદર ગામમાં જાહેર જુગાર પર દરોડો પાડી સાત લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ. 2.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દરોડા દરમિયાન ચાર આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસને ભોડદર ગામથી કોટડા ગામ તરફ જતા રસ્તે આવેલા ગૌચર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રોનપોલીસનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન હરદેવ પીંગળસીંભાઇ લીલા, કેશુ રામભાઇ ઓડેદરા, હરસુખ ભીખાભાઇ કુછડીયા, લખન ભગતભાઇ પરમાર, પુંજા ઉર્ફે સુકા હીરાભાઇ ડાકી, રામ સામળાભાઇ ખુંટી અને ભીમા માલદેભાઇ માળીયા સહિત કુલ સાત ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ. 2,50,020/- અને છ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2,76,520/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન નરેન્દ્ર ઉર્ફે નીલેષ હરદાસભાઇ દાસા, દેવા ઉર્ફે સાકાલ બાલુભાઇ ઓડેદરા, ભીમા હાજાભાઇ ખુંટી અને કેશુ લીલાભાઇ ભુતીયા એમ કુલ ચાર ઇસમો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. રાણાવાવ પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હેડ કોન્ટેબલ અને એક કોન્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી. જોકે, ગુજરાતમાં ઘૂસતા જ દાહોદ LCBને બાતમી મળતાં LCBએ પીછો કર્યો હતો. આ દરમિયાન એક કારનો અકસ્માત સર્જાતા એનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જોકે, અન્ય કારમાં પાયલોટિંગ કરતા બે કોન્ટેબલ પણ ફરાર થઇ ગયા હતા. રાજસ્થાનથી પંચ કારમાં દારૂ ભર્યોઆ ઘટના અંગે ચાકલીયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચાકલીયા પોલીસ મથકમાં જ ફરજ બજાવતા હેડ કોન્ટેબલ અર્જુન ઘનુભાઈ ભુરીયા, મોહન રમેશભાઇ તાવિયાડ અને કોન્ટેબલ પ્રકાશ સબુરભાઇ હઠિલાએ ગઇકાલે બપોરે રાજસ્થાનથી એક પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જે કાર મોહન તાવિયાડ ચલાવતો હતો. જ્યારે અર્જુન ભુરીયા અને પ્રકાશ હઠિલા અન્ય એક અલ્ટો કારમાં પાયલોટિંગ કરતા હતા. પોલીસને જોઈ ગાડીઓ ભગાડીઆ દરમિયાન દાહોદ LCBને આ બાતમી મળતાં LCBએ ઝાલોદ અને ચાકલીયા પોલીસ સ્ટાફ સાથે તળાવા ચોકડી નજીક વોંચ ગોઠવી હતી. આ દરમિયાન બંને કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ ગાડી અટકાવવાને બદલે સ્પીડ વધારી લીમડી તરફ નાસી છૂટ્યા હતા. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતાં દારૂ ભરેલી પંચફોર વ્હીલર ગાડી આશરે 500 મીટર દૂર ગટરમાં ઉતરી ગઈ હતી, જેનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે પાયલોટિંગ કરતી અલ્ટો પણ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત કાર સહિત દારૂ જપ્તપોલીસે અકસ્માતગ્રસ્ત પંચ કારમાં તપાસ કરતાં પંચમાંથી વિવિધ કંપનીની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલો અને અંદાજે 74 લીટરથી વધુ દારૂના વોશનો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર સહિત કુલ 5 લાખ 66 હજાર 646 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસ મુજબ દારૂ ભરેલી પંચ (GJ-35-N-8922) હેડ કોન્ટેબલ મોહન તાવિયાડની છે. જ્યારે ફરાર અલ્ટો કાર (GJ-20-CA-8956) કેન્ટેબલ પ્રકાશ સબુરભાઈ હડીયાની હોવાનું સામે આવ્યું છે. પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર પ્રશ્નપ્રોહીબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતાં જનતા અને પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ કેસમાં વિભાગીય કાર્યવાહી, સસ્પેન્શન તથા ઉચ્ચસ્તરીય તપાસની માંગ તેજ બની છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 12 જાન્યુઆરી, યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીની વિવેકાનંદ ચેર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ ઉપસ્થિત સૌને સ્વામીજીના વિચારો જીવનમાં ઉતારવા અને તેમનું જીવન ચરિત્ર વાંચવા આહવાન કર્યું હતું. મુખ્ય વક્તા કેપ્ટન જયદેવ જોશીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને સમગ્ર વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. તેમણે યુવાનોને સ્વામીજીના સંદેશ મુજબ ધ્યાન, પ્રાર્થના અને પૂજા દ્વારા સશક્ત બનવા પ્રેરણા આપી હતી, કારણ કે સશક્ત વ્યક્તિ જ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે. ડો. જોશીએ યુવા શક્તિને સંસ્કારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને મોબાઈલના અતિરેકથી દૂર રહી ગીલ્લી-દંડા, કબડ્ડી, ખો-ખો જેવી પરંપરાગત રમતો રમવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિવેકાનંદ ચેરના કોર્ડીનેટર ડો. અજયભાઈ સોનીએ કર્યું હતું, જ્યારે સંચાલન વિવેકાનંદ કેન્દ્રના રાજનભાઈએ સંભાળ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવસની શરૂઆતમાં શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પણ કેપ્ટન જયદેવ જોશીનું પ્રવચન યોજાયું હતું. આ સ્થળે સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. ડો. એમ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન ગોધરા કોમર્સ કોલેજના પ્રો. ડો. અરુણસિંહ સોલંકીએ કર્યું હતું.
ઉત્તરાયણ પર્વ પૂર્વે પોરબંદર વન વિભાગે પક્ષી સુરક્ષા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિભાગે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને પક્ષીઓને નુકસાન પહોંચાડતી અન્ય સામગ્રીના વેચાણ તથા ઉપયોગને રોકવા માટે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. વન વિભાગની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો સહિતની જગ્યાઓએ તપાસ કરી રહી છે. આ અભિયાન વન વિભાગના 'કરુણા અભિયાન'નો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજીવન અને પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત સામગ્રીના વેપાર પર કાયદેસરનો પ્રતિબંધ છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેની ખાસ કાળજી રાખે. જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત દોરીઓ કે અન્ય સામગ્રીનું વેચાણ થતું જોવા મળે, તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ નિયમોનો ભંગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે હેતુથી આ ચેકિંગ અભિયાનને વધુ સઘન બનાવવામાં આવ્યું છે.
ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ, તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉજવણીના ભાગરૂપે, અધ્યાપકોએ સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, મારા આદર્શ: સ્વામી વિવેકાનંદ વિષય પર એક વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
હવે મકર સંક્રાંત આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. સૌ કોઈ પતંગ ચગાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે સમયની સાથે કાઇટ ફેસ્ટિવલના રંગ રૂપ પણ બદલાયા છે. હવે યુવાઓ માટે રીલ વિના તો ફેસ્ટિવિલ સેલિબ્રેશનની કલ્પના જ કરવી મુશ્કેલ છે. તેમાં પણ ઘણાં તો માત્ર રીલ બનાવવા જ પતંગ ચગાવતા હોય છે. આ પતંગોત્સવને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવક-યુવતીઓને ઉત્તરાયણના સેલિબ્રેશન અંગે સવાલો કર્યા હતા. જેમાં રીલ, ઢીલ અને ધાબું અને ધુરંધર અંગે મસ્ત મજાના જવાબો મળ્યા હતા.
સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેમની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા એક ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. યુવકે એક એવી પતંગ તૈયાર કરી છે કે, જેને ઊડાડવા માટે ન તો દોરી કે ન તો પવનની જરુર પડશે. દિવસે તો ઠીક આ પતંગ રાતે પણ બટરફ્લાય બની આકાશને રંગોથી ભરી દેશે. આ પતંગ અકસ્માતો તો ઘટાડશે સાથે-સાથે પર્યાવરણનુ રક્ષણ કરવાનું પણ માધ્યમ બનશે. વિકીની ટીમે આ સુરતી પતંગ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાં ઊડાડી વિદેશમાં પણ આપણા દેશનો ડંકો વગાડ્યો છે. ચીનમાં તો તેણે સિલ્વર પ્રાઇઝ જીત્યો હતો અને ઇન્ડોનેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાડીને ટેક્નોલોજી વિશે ચર્ચા કરવાની તક મેળવી હતી. દોરી અને પવન વગર જ આકાશમાં ઊડશે આ પતંગવિક્કીએ આ પતંગના ઈનોવેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે મકરસંક્રાંતિમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે પણ તેની સાથે જોડાયેલી દોરી પક્ષીઓ અને નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. આ ગંભીર સમસ્યાનો અમે એક કાયમી અને અત્યંત આધુનિક ઉકેલ શોધ્યો છે. અમે એક એવો પતંગ તૈયાર કર્યો છે જે દોરી વગર માત્ર રિમોટ કંટ્રોલની મદદથી આકાશમાં ઉડે છે. ઘાયલ પક્ષીના સમાચાર વાંચ્યા ને આ ઈનોવેશન સૂઝ્યુંવધુમાં તેઓએ જણાવ્યું કે, એક દિવસ જ્યારે અમે મિત્રો સાથે બેઠા હતા ત્યારે સમાચારમાં વાંચ્યું કે પતંગની કાચ પાયેલી દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને વાહનચાલકોના ગળા કપાવાની ઘટનાઓ બને છે. આ જાણીને અમને ખૂબ દુઃખ થયું. અમને વિચાર આવ્યો કે, શું પતંગને દોરી વગર ઉડાડી શકાય? બસ, આ એક વિચારમાંથી જ રિમોટ કંટ્રોલ પતંગની સફર શરૂ થઈ. અત્યાર સુધીમાં આવી 15 પતંગો તૈયાર કરીઅમારો હેતુ મનોરંજનની સાથે સુરક્ષાનો છે. જો આ પ્રકારના ઇનોવેટિવ પતંગોનો વ્યાપ વધશે તો ભવિષ્યમાં ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતમાં મોટો ઘટાડો લાવી શકાશે. આજે જ્યારે આ પતંગ આકાશમાં ઉડે છે ત્યારે તે જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડે છે. આ પતંગ માત્ર આકાશમાં ઉડતું એક સાધન નથી પરંતુ, ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો એક અદભૂત સંગમ છે. ચાર અલગ-અલગ ડિઝાઇનમાં આ પતંગો બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ આવી 15થી વધુ પતંગો બનાવી છે. એક પતંગ બનાવવાનો ખર્ચ 40થી 45 હજાર જેટલો થાય છે. આ સફળતા પાછળ ટીમની અથાક મહેનત રહેલી છે. વિકી વખારિયા સાથે ભાવેશ ગોસાઈ, પ્રથમ માવાપુરી અને પાર્થ લેકડિયા - આ ચાર મિત્રોની ટીમે રાત-દિવસ એક કરીને રિસર્ચ કર્યું હતું. શરૂઆતમાં પતંગને બેલેન્સ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ હાર માન્યા વગર સતત પ્રયત્નોના અંતે આજે તેઓ સફળતાપૂર્વક આ પતંગને આકાશમાં લહેરાવી રહ્યા છે. આકાશમાં લૂપ, રોલ અને ડાઇવ જેવા સ્ટંટ પણ કરી શકશે આ પતંગ સામાન્ય પતંગો કરતા સાવ અલગ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેને ઉડવા માટે પવનની જરૂર પડતી નથી. પવન હોય કે ન હોય, આ પતંગ આકાશમાં સ્થિર રહી શકે છે અને મનગમતી દિશામાં ઉડી શકે છે. આ પતંગને અત્યાધુનિક રિમોટ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. દોરીવાળા પતંગમાં મર્યાદિત હિલચાલ શક્ય છે, જ્યારે આ પતંગ દ્વારા આકાશમાં લૂપ, રોલ અને ડાઇવ જેવા જટિલ સ્ટન્ટ્સ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. પતંગમાં ખાસ પ્રકારની લાઇટિંગ લગાવવામાં આવી છે, જે રાત્રિના સમયે આકાશમાં અદભૂત નજારો પેદા કરે છે. ઈન્ડોનેશિયામાં PM સાથે પણ પતંગ ઊડાડી હતીઆ ગુજરાતી યુવાનોની પ્રતિભા માત્ર ભારત પૂરતી સીમિત નથી રહી. તેમણે ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન જેવા દેશોમાં જઈને પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે. ચીનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તેમને બીજી વખત સિલ્વર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું છે. ગર્વની વાત એ છે કે, ઇન્ડોનેશિયામાં આયોજિત પતંગ મહોત્સવ દરમિયાન તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ પતંગ ઉડાડવાની અને આ ટેકનોલોજી વિશે ચર્ચા કરવાની તક મળી હતી.
ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રોજે રોજ નવા નવા લક્ઝુરિયસ ફ્લેટ ને અપાર્ટમેન્ટ લૉન્ચ થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ અમદાવાદમાં 161.2 મીટરની એસ.જી. હાઇવે પર બની રહી છે. આ બિલ્ડિંગ ‘નવરત્ન ગ્રૂપ’ બનાવી રહ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં આ ગ્રૂપે 15થી પણ વધુ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. 'સ્કાયલાઇનર્સ' સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરીશું ‘નવરત્ન ગ્રૂપ’ની. નવરત્ન ગ્રુપની શરૂઆત કેવી રીતે થઈ, શાહ પરિવારે પહેલાં અમદાવાદમાં બંગલા બનાવ્યા, બંગલા પાડીને મૉલ બનાવ્યો ને હવે મૉલ પાડીને ગુજરાતનું યુનિક ટાવર બનાવી રહ્યું છે. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ ડી. શાહે પોતાની જર્ની અંગે વાત કરી હતી. 'ફેમિલી બિઝનેસ કાપડનો'વાતની શરૂઆત કરતાં પ્રણવભાઈએ કહ્યું, 'મૂળ તો અમારો ફેમિલી બિઝનેસ કાપડનો હતો. મારા પપ્પા દિનેશભાઈના મોટા ભાઈ દેવેન્દ્રભાઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. તેઓ માસ્ટરનું ભણીને અમેરિકાથી ભારત આવ્યા હતા. તે સમયે તેમને રિયલ એસ્ટેટમાં તક મળી અને તેઓ ત્રણેય ભાઈઓ એટલે મારા પપ્પા દિનેશભાઈ, તેમના મોટાભાઈ દેવેન્દ્રભાઈ તથા નાના ભાઈ જીતેન્દ્રભાઈએ સાથે મળીને 1975માં પહેલો પ્રોજેક્ટ ‘શાલીમાર’ કર્યો હતો. ત્યાંથી રિયલ એસ્ટેટના ધંધાની શરૂઆત થઈ.' નવરત્ન નામ કેવી રીતે પડ્યું?નવરત્ન નામ અંગેની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અંગે પ્રણવભાઈએ જણાવ્યું, 'આ નામ પાછળ પણ એક સુંદર સ્ટોરી જોડાયેલી છે. મારા દાદાનો કાપડનો ધંધો હતો. તેઓ દરેક મિલમાંથી નવી નવી પ્રિન્ટ આપીને કપડું લાવતા. તેઓ દરેક પ્રિન્ટને પોતાની રીતે નામ આપતા. આવી જ એક પ્રિન્ટનું નામ ‘નવરત્ન’ હતું. આ પ્રિન્ટ ખાસ્સી ચાલી અને સારો એવો બિઝનેસ કર્યો હતો. મારા દાદાને લાગ્યું કે આ નવરત્ન તો આપણને સદી ગયું છે ને આપણા માટે સારું છે. તો બસ એના જ આધારે નવરત્ન નામ રાખવામાં આવ્યું.' 'શરૂઆતમાં કોન્ટ્રાક્ટિંગનું જ કામ કરતા'વાતને આગળ વધારતાં પ્રણવભાઈ કહે છે, 'પપ્પા મોસ્ટલી કોન્ટ્રાક્ટિંગનું જ કામ કરતા, એટલે તેમાં તો મોટાભાગે બીજા ડેવલર માટે જ કામ કરવાનું હોય. જ્યારે તમે બીજા ડેવલપર સાથે કામ કરો ત્યારે ખાસ સર્વાઇવલની ચેલેન્જિસ બહુ ઓછી આવતી હોય છે. તેમણે આ દરમિયાન એકાદ-બે પ્રોજેક્ટ્સ અશોકવાડી અપાર્ટમેન્ટ તથા ગુલમોહર બંગલો બનાવ્યા. આ બધી જગ્યાએ પપ્પાએ જાતે પ્રોજેક્ટ કર્યા હતા અને મને વિશ્વાસ છે કે પપ્પાને ત્યારે ચોક્કસથી મુશ્કેલીઓ આવી જ હશે. અલબત્ત, ધંધામાં તો અપ્સ ને ડાઉન આવતા રહે. તમે કેવી રીતે સામનો કરો છે તે વાત મહત્ત્વની છે.' 'પોતાના માટે કંઈક કરવાની ઈચ્છા હતી'પોતાની સફર રિયલ એસ્ટેટમાં કેવી રીતે શરૂ થઈ તે અંગે પ્રણવભાઈ જણાવે છે, 'હું મોટો ને સમજણો થયો ત્યારથી મેં પપ્પાને રિયલ એસ્ટેટ બિઝનેસમાં જ જોયા છે. આ જ કારણે મને પણ રિયલ એસ્ટેટમાં જ રસ હતો. એ વાત પણ એટલી જ સાચી છે કે પહેલેથી મારા મનમાં નક્કી હતું કે અમે ધંધો કરીશું તો પોતાના માટે જ કરીશું એટલે કે અમે કોન્ટ્રાક્ટિંગનું કામ નહીં કરીએ. અમને ડેવલપર સાઇડમાં વધારે રસ હતો. પછી તો મેં સાયન્સ લીધું ને 12 સાયન્સ પછી બે વર્ષ નડિયાદની ધરમસિંહ દેસાઇ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. ત્યારબાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગમાં ટ્રાન્સફર લઈને બાકીનાં બે વર્ષ પૂરાં કર્યાં. એજ્યુકેશન પૂરું કર્યા બાદ મેં ને મારા ભાઈએ ‘નવરત્ન ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ લિમિટેડ’ 1992-93માં શરૂ કર્યું. 1993માં અમે પહેલો પ્રોજેક્ટ કૈવલ્ય અમદાવાદના પ્રીતમનગર અખાડા આગળ બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટીમાં લોન્ચ કર્યો. પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે પૈસા ક્યાંથી આવશે. કારણ કે નવું સ્ટાર્ટ કર્યું હતું. પપ્પા પાસેથી પૈસા લઈને બધું કરવું યોગ્ય નહોતું એટલે જાતે જ બધું મેનેજ કરીને આ પ્રોજેક્ટ કરવાનો હતો. ભગવાનની દયાથી પહેલા જ પ્રોજેક્ટમાં એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે ત્યાંથી શરૂઆત કરીને આજ દિન સુધી પાછળ ફરીને જોવું પડ્યું નથી.' 'બિઝનેસનો મોટો'પ્રણવભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ બિઝનેસમાં કયા મોટો (ધ્યેયસૂત્ર)થી કામ કરે છે તો તેમણે જવાબ આપ્યો, 'અમારા માટે ક્વૉલિટી ફર્સ્ટ છે. અમે વધુ પડતી વાતો કરવાને બદલે કામ કરીને આપવામાં માનીએ છીએ. સૌથી મહત્ત્વનું પારદર્શિતા છે. આ ત્રણ બાબતોને કારણે જ આટલાં વર્ષોથી સર્વાઇવ થયા અને ભવિષ્યમાં પણ આ જ ત્રણ બાબત પર કામ કરીશું.' 'ગુજરાતનું પહેલું મિકસ યુઝ ટાવર અમદાવાદમાં'નવરત્ન ગ્રૂપ 161.2 મીટર જેટલી ઊંચી બિલ્ડિંગ અમદાવાદમાં બનાવી રહ્યું છે. ગુજરાત-અમદાવાદમાં અત્યાર સુધીની આ સૌથી ઊંચું ટાવર બનશે. આ અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'સેટેલાઇટ વિસ્તારમાં પપ્પાએ ગુલમોહર બંગલો બાંધ્યા હતા. આ બધા જ બંગલા અમે 2006માં પાછા ખરીદ્યા. તે બંગલા પાડીને અમે ગુલમોહર પાર્ક મોલ બનાવ્યો. અમે આ મૉલ કિશોર બિયાણીના વેન્ચર ‘ક્ષિતિજ’ સાથે પાર્ટનરશિપમાં બનાવ્યો હતો. 2013માં ક્ષિતિજ વેન્ચરે આ પાર્ટનરશિપમાંથી એક્ઝિટ લીધી. અમે 2013થી લઈને 2023 સુધી એટલે કે 10 વર્ષ સુધી મૉલ ચલાવ્યો. અમારું નક્કી હતું કે ત્યાં અમે અમદાવાદમાં આઇકોનિક બને તેવું કંઈક બનાવીશું. સમય જતાં મોલ પાડીને અમદાવાદનું આજની તારીખે ટોલેસ્ટ બિલ્ડિંગ 161.2 મીટરની ઊંચાઈનું બનાવીએ છીએ. અમદાવાદનો આ પહેલો ફર્સ્ટ મિક્સ યુઝ પ્રોજેક્ટ ઇન સિંગલ ટાવર લૉન્ચ કરી રહ્યા છીએ. એટલે કે આ એક જ ટાવરમાં રિટેલ, ઑફિસ તથા રેસિડેન્શિયલ એમ ત્રણ-ત્રણ બાબતો જોવા મળશે. વિદેશમાં આ પ્રકારની બિલ્ડિંગ સામાન્ય છે, પરંતુ અમદાવાદમાં પહેલી જ વાર આ પ્રકારનું ટાવર બની રહ્યું છે.' 'ભૂકંપથી ડરવાની જરૂર નથી'અમદાવાદમાં આટલું ઊંચું ટાવર બને ત્યારે સ્વાભાવિક રીતે જ આગ ને ભૂકંપનો ડર લાગે તે સ્વાભાવિક છે. પ્રણવભાઈએ આ ડર અંગે વાત કરતાં કહ્યું, ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ રિયલ એસ્ટેટના નિયમો બદલાઈ ગયા છે. બિલ્ડિંગ્સ જે રીતે બની રહી છે તે ભૂકંપ રેઝિટન્ટ સ્ટ્રક્ચર સાથે બની રહી છે, આ જ કારણે હવે કોઈએ ગભરાવાની જરૂર નથી. બિલ્ડિંગ હલે એટલે ડર લાગે, પણ હવે નવી બિલ્ડિંગ અર્થ ક્વેક રેઝિટન્સવાળી જ હોય છે.' 'અમારા ટાવરના દરેક ઘરમાં રેફ્યૂજ બાલ્કની' 'આ ઉપરાંત ફાયરમાં પણ એડવાન્સ ફાયર સેફ્ટીની સુવિધા હોય છે. અમારી વાત કરું તો, અમે દરેક ફ્લોર પર રેફ્યૂજ બાલ્કની આપી છે. રેફ્યુજ ફ્લોર પણ આપ્યો છે. આ ફ્લોર નિયમ પ્રમાણે દરેક હાઇરાઇઝ બિલ્ડિંગમાં હોય જ છે. અમે ફાયર સેફ્ટીની તમામ તકેદારી રાખી છે. રેસ્ક્યૂમાં ક્યારેય કોઈ તકલીફ ઊભી ના થાય તે વાતનું પૂરતું ધ્યાન અમારા ટાવરમાં રાખવામાં આવ્યું છે.. રેફ્યૂજ બાલ્કની એટલે એવી જગ્યા જ્યાં બહારથી ફાયર કે પછી રેસ્ક્યૂ ટીમ આવી શકે ને તે સરળતાથી ટેન્ડર કે સીડી મૂકી શકે. આમ તો આ બાલ્કની જેવી જ છે, પરંતુ તે એ રીતે ડિઝાઇન ને લોકેટ કરવામાં આવી છે, જેથી ફાયર ફાઇટિંગનાં સાધનો કે રેસ્ક્યૂ માટે સરળતાથી ઉપયોગમાં આવે. અમે દરેક ફ્લોર પર આ રીતની બાલ્કની આપી છે. આ ફરજિયાત નથી, પરંતુ અમે આપી છે. રેફ્યૂજ ફ્લોર ફરજિયાત હોય છે. અમારા ટાવરમાં આ ફ્લોર 16મા માળે છે. તે બિલ્ડિંગના કયા ફ્લોર પર હોય તે નક્કી હોતું નથી. બિલ્ડર પોતાની રીતે ફ્લોર રાખતો હોય છે. અમારી એક સ્કીમમાં રેફ્યૂજ ફ્લોર નવમા માળે હતો, એકમાં 11મા માળે હતો. આ એવો ફ્લોર, જ્યાં બધા ભેગા થાય અને રેસ્ક્યૂ સરળતાથી થઈ શકે.' વધુમાં તેમણે સૌથી ઊંચા ટાવરની માહિતી આપતાં કહ્યું, 'ગુલમોહર મૉલમાં કર્મશિયલ ફ્લોરનું નામ ગુલમોહર પાર્ક છે અને રેસિડેન્શિયલ પાર્ટમાં અમદાવાદના સૌથી મોટામાં મોટા અપાર્ટમેન્ટ બની રહ્યા છે અને તેનું નામ ‘કલ્હાર સ્કાય રેસિડન્સ’ રાખ્યું છે.' 'રોડને આધારે બિલ્ડિંગની હાઇટ નક્કી થાય'પ્રણવભાઈને પૂછવામાં આવ્યું કે બિલ્ડિંગની હાઇટ કેવી રીતે નક્કી થાય, તો તેમણે જણાવ્યું, 'રોડ કેટલા ફૂટનો છે તેના આધારે બિલ્ડિંગની હાઇટ નક્કી થાય. અમારો પ્લોટ 10 હજાર પ્લસ વારનો છે અને અમારી આજુબાજુ મોટાભાગે લૉ-રાઇઝ બિલ્ડિંગ છે. આ જગ્યા આઇકોનિક બિલ્ડિંગ માટે બેસ્ટ છે. આ ટાવરમાં દરેક ફ્લોરની હાઇટ 4 મીટરની છે અને કેટલાક ફ્લોર ચાર મીટરથી પણ ઊંચા છે. ગ્રાઉન્ડ ને ફર્સ્ટ ફ્લોરમાં રિટેલ શોપ, સેકન્ડથી 15 ફ્લોર સુધી ઑફિસ અને 17થી 38 સુધી રેસિડેન્શિયલ છે. અમે તો બેર શેલ ઘર જ આપતા હોઈએ છીએ, કારણ કે દરેક ક્લાયન્ટની પોતાની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. બેર શેલ એટલે ખોખું તૈયાર કરીને અમે પઝેશન આપીએ અને આમ પણ અમે ગમે તે કરીને આપીએ, ખરીદનાર એમના ઇન્ટિરિયર સાથે આવે ત્યારે તેઓ પોતાની રીતે તોડફોડ કરીને ફેરફાર કરતા હોય છે. અમે માનીએ છીએ કે આ તો ખોટો ખર્ચો જ છે. આ એક ક્રિમિનલ વેસ્ટ ઓફ મની છે અને આવું કરવું જોઈએ નહીં..' 'બંગલો ખરીદવો મોંઘો બન્યો'અમદાવાદના રિયલ એસ્ટેટ અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'અમદાવાદનું રિયલ એસ્ટેટ ઘણું જ ઝડપથી વિકાસ પામ્યું ને અત્યારે મેચ્યોર થઈ ગયું છે. પહેલાં ને અત્યારના રિયલ એસ્ટેટમાં ઘણા ફેરફાર જોયા છે. નવી જનરેશન આ બિઝનેસમાં આવી છે. જ્યારે નવી જનરેશન બિઝનેસમાં આવે ત્યારે તેમનાં ડ્રીમ્સ ને આઇડિયા જોવા મળે. અન્ય રાજ્યોમાં અમદાવાદ ઘણું જ લોકપ્રિય બન્યું છે. પહેલાં આ જોવા મળતું નહોતું. અમદાવાદને એ લોકો સેકન્ડ ગ્રેડ ગણતા. હવે તેઓ અમદાવાદને ઘણું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મેટ્રો તરીકે જુએ છે. આ જ કારણે અમદાવાદને ખાસ્સો ફાયદો થયો છે. પહેલાં અમદાવાદીઓની મેન્ટાલિટી બંગલો તો જોઈએ એવી હતી, પરંતુ હવે જે રીતે જમીનના ભાવ વધે છે તે જોતાં બંગલો ખરીદવાની શક્તિ ઘટતી જાય છે. એની સામે અમદાવાદમાં લક્ઝરી અપાર્ટમેન્ટ એટલા સુંદર બની રહ્યા છે કે લોકોને બંગલાની ખોટ પણ સાલતી નથી. આ જ કારણે અમદાવાદમાં હાઇ એન્ડ અપાર્ટમેન્ટનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે..' 'લક્ઝરી અપાર્ટમેન્ટનો ક્રેઝ વધ્યો'લક્ઝરી અપાર્ટમેન્ટ એટલે જ્યાં બધી જ સવલતો મળે. કોઈકના માટે અપાર્ટમેન્ટની સાઇઝ લક્ઝરી છે, કોઈના માટે હાઇટ તો કોઈના માટે ફ્લોરિંગ તો ફેસિલિટી.... એમ અમદાવાદીઓનાં મનમાં લક્ઝરી અંગે વિવિધ કોન્સેપ્ટ છે. આ બધું જ્યાં હોય તે લક્ઝુરિયસ ઘર કહેવાય અથવા તો જે-તે પ્રોજેક્ટ લક્ઝરી કેટેગરીમાં આવે. હવે મારુતિની કોઈ કાર 5 લાખમાં આવે તો મર્સિડિઝ પાંચ કરોડમાં આવે છે. એ જ રીતે આજકાલ અમદાવાદીઓ બાથરૂમથી લઈ કિચન મોં માગ્યા ભાવે સજાવી રહ્યા છે. આ બધામાં બ્રાન્ડેડની સુપર કેટેગરી યુઝ કરવામાં આવે એટલે તમને તે વધારે જ મોંઘું લાગે..' 'આપણી સિવિક સેન્સ સુધરશે તો દુનિયાના કોઈ પણ શહેરને ટક્કર મારી શકીશું'પ્રણવભાઈ માને છે, .'અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ રમાશે અને તેને કારણે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું જ સુધરશે. એ વાત પણ એટલી જ સાચી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ડેવલપ થાય ત્યારે બધી જગ્યાએ જમીનના ભાવ વધતા હોય છે. રિયલ એસ્ટેટમાં તેજી આવતી હોય છે. હું સ્પષ્ટપણે માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ધ કી. ઇન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ અમદાવાદ બીજાં શહેરો કરતાં સૌથી બેસ્ટ છે. આમ તો મારે ના કહેવું જોઈએ, પણ આપણી સિવિક સેન્સ ઘણી જ ખરાબ છે અને જો આપણામાં તે આવી જાય તો આપણે મુંબઈ-બેંગલુરુ છોડો, દુનિયાનાં કોઈ પણ દેશનાં સિટીને ટક્કર મારીશું.' અમદાવાદમાં ક્યાં સૌથી વધારે ભાવ?અમદાવાદમાં કયા વિસ્તારમાં ભાવ વધારે તે અંગે પ્રણવભાઈ સમજાવતાં કહે છે, 'જમીનના ભાવની વાત કરું તો સેટેલાઇટથી આગળ આંબલી-બોપલ, ત્યારબાદ એસ.જી. રોડથી એસ.પી. રિંગ રોડ વચ્ચેના વિસ્તારના ભાવ અત્યારે સૌથી વધારે છે. અપાર્ટમેન્ટની વાત કરું તો તે કોનો પ્રોજેક્ટ છે તેના પર આધાર રાખે છે. ઘણીવાર એક જ એરિયામાં બાજુ-બાજુમાં આવેલી બે બિલ્ડિંગના ભાવમાં ઘણો મોટો તફાવત હોય છે. સામાન્ય રીતે જ્યાં જમીનના ભાવ વધારે હોય ત્યાં એપાર્ટમેન્ટ મોંઘા જ મળે. એરિયા પ્રમાણે કહું તો, એસ.જી. રોડથી એસ.પી. રોડની વચ્ચે આંબલી- બોપલ રોડ, રાજપથ-રંગોલી રોડ છે, સિંધુ ભવન રોડ, એનાથી આગળ જાવ તો સોલા, સાયન્સ સિટી રોડ પર બનતા અપાર્ટમેન્ટ મોંઘા જ હોય છે.' 'શહેરની વચ્ચે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા અઘરાં છે'અમદાવાદમાં એક-બે બેડરૂમના ફ્લેટ ઓછા બને છે કે નહીં તે અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'એક-બે બેડરૂમના અપાર્ટમેન્ટ સાઇઝને ધ્યાનમાં રાખીને બનાવવાના હોય છે. હું જે જમીન પર ચાર-પાંચ બેડરૂમના ફ્લેટ બનાવું છું, ત્યાં જો મારે એક-બે બેડરૂમના ફ્લેટ બનાવવાના હોય તો તે મોંઘા પડે. જમીન મોંઘા ભાવે લીધી હોય છે તો તે મોંઘા જ બને, પરંતુ એક-બે બેડરૂમનાં ઘર ખરીદનારની પેઇંગ કેપેસિટી પણ એટલી ના હોય. આ વર્ગ જે કિંમતે ખરીદવા માગે છે તેટલી કિંમત ડેવલરને પોસાય નહીં. આપણે શહેરની વચ્ચે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા માગીએ તો તે થોડું ડાઉટફુલ લાગે છે. કારણ કે જે ખરીદવર્ગ છે તેની એટલા રૂપિયા આપવાની કેપેસિટી નથી. હું ચાર-પાંચ બેડરૂમના બનાવીશ એટલે તે તરત જ વેચાઈ જશે. આ ચિકન-એગ જેવી પરિસ્થિતિ છે.' 'રિયલ એસ્ટેટમાં ક્યારે રોકાણ કરવું બેસ્ટ રહેશે'રિયલ એસ્ટેટમાં રોકાણ કે ખરીદી કરવી હોય તો તમે જ્યારે તૈયાર છો તે જ સૌથી સારો સમય એવું હું માનું છું. ઘણીવાર આપણે તૈયાર નથી હોતા તો પણ આપણે કરવું જોઈએ. આ જ કારણે આ ઇન્ડસ્ટ્રીને 'રિયલ' એસ્ટેટ કહેવામાં આવે છે. સ્ટોક માર્કેટ, ગોલ્ડ-સિલ્વરમાં ચઢાવ-ઉતાર આવે છે. જો તમે પ્લાનિંગ સાથે રિયલ એસ્ટેટમાં આવો તો તેમાં ભાવ વધતા હોય છે. જમીન સાથે જોડાયેલ કોઈ પણ ચીજ-વસ્તુના ભાવ વધતા જ હોય છે. એટલે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જમીન રિલેટેડ કોઈ પણ પ્રોડક્ટ શોધવી. એના માટે ભલે તમારે અમદાવાદથી થોડે દૂર પણ કેમ ના જવું પડે.’ 'ક્વૉલિટી માટે ડેવલપરના ભૂતકાળના પ્રોજેક્ટ્સ જોવા'પ્રણવભાઈ સમજાવે છે, સામાન્ય રીતે હવેના કાયદા તથા રેરાને કારણે કોઈ પણ ડેવલપરને ખોટું કરવામાં રસ નથી. તેમ છતાંય જ્યારે તમે ઘર-ઑફિસ ખરીદવા જાવ ત્યારે સારા ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડર્સ, ભૂતકાળમાં સારી ને કહ્યા પ્રમાણેની ડિલિવરી આપી હોય એવા ડેવલપરને શોર્ટ લિસ્ટ કરવા. આ ઉપરાંત જ્યારે પણ ઘર ખરીદવું હોય તો સૌ પહેલાં એ નક્કી કરો કે કયા એરિયામાં લેવું છે, કયો ડેવલપર એમિનિટિઝથી માંડીને દરેક વસ્તુ શું ઑફર કરી રહ્યો છે તેના પર ધ્યાન આપી શકો છો. ક્વૉલિટી ચેક કરવા ડેવલપરના ભૂતકાળના પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપો. હવે દરેકે ક્વૉલિટી તો આપવી જ પડશે. જો કોઈ ક્વૉલિટી સાથે સમાધાન કરશે તો લોકો તેના ત્યાં જવાનું જ બંધ કરી દેશે. સાચું કહું તો કોઈને એવું હોતું નથી કે ખરાબ કામ કરીને આપવું છે. એને તો આગળ ધંધો કરવાનો છે એટલે કોઈ ખરાબ કરતું નથી.' 'ભૂકંપના દિવસે નજર સામે દરેક પ્રોજેક્ટ આવી ગયા'ભૂકંપની વાતને યાદ કરતાં પ્રણવભાઈ કહે છે, 'ગુજરાતમાં આવેલા ભૂકંપે આખી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને હલબલાવી નાખી હતી. એ દિવસે સવારનો સમય હતો એટલે હું મારા ઘરે જ હતો. એટલું કહી શકું કે સેકન્ડના પા ભાગમાં મારી આંખ સામે મારા દરેકે દરેક પ્રોજેક્ટ આવીને જતા રહ્યા હતા. મેં મારી નજર સમક્ષ બિલ્ડિંગને પડતા પણ જોઈ હતી. ભૂકંપના અડધા કલાક બાદ જ ગાડી લઈને અમે દરેકે દરેક પ્રોજેક્ટ ફર્યા અને ચેક કર્યું કે કંઈ થયું નથી ને? ભગવાનની દયાથી નાના ડેમેજથી વધારે ગંભીર નુકસાન થયું નહોતું.' 'મુશ્કેલ સમય આવે ને જાય, મક્કમતા જરૂરી''આ ઉપરાંત 1987માં મંદી આવી અને તે 2001-02 સુધી ચાલી હતી. આ સમય કાઢવો ઘણો જ મુશ્કેલ હતો. એક બાજુ મકાનો વેચાય નહીં ને બીજી બાજુ મકાનો બનાવતા હોઈએ તે પૂરાં કરવાના હોય. એ ઘણો જ મોટો પડકાર હતો. રિયલ એસ્ટેટમાં તમારે તમારો ગોલ ફિક્સ રાખીને સસ્ટેન થવા માટે જે કંઈ કરવાની જરૂર પડે તે બધું જ કરવાનું હોય છે. બસ ધ્યાન એટલું રાખવાનું કે ભાગી જવાનું નથી. નાસીપાસ થઈને હારી જવાનું નથી. બસ સમય કાઢવાનો છે. આ દરમિયાન દરેક વ્યક્તિ એકબીજાને સમજતા હોય છે અને એકબીજાને સપોર્ટ કરતા હોય છે. એમને ખ્યાલ છે કે તમને સપોર્ટ કરશે તો તે સર્વાઇવ થશે. એ સમયે બસ એ ધ્યાન રાખવાનું કે એવું કોઈ પગલું ના ભરો કે તમને મુશ્કેલી ઊભી થાય અને તમારા કારણે બીજાને મુશ્કેલી ઊભી થાય. એ સમય કાઢવો સૌથી અગત્યનો છે અને એ સમય સાચે જ અઘરો હોય છે. તમારે એટલી તો મક્કમતા રાખવી જ પડે ને પોતાને મોટીવેટ કરતા રહેવું પડે કે હું કોઈ પણ હિસાબે સર્વાઇવ થઈ શકીશ. 2008ની મંદીની અસર આપણા દેશમાં બહુ જોવા મળી નહોતી. લેહમેન બ્રધર્સનો જે ઇશ્યૂ હતો તેની અસર આખી દુનિયામાં થઈ, પરંતુ ભારતમાં સૌથી ઓછી અસર થઈ. કોરોના પણ જીવનભર યાદ રહેનારી ઘટના છે. કોરોનાને કારણે લોકોનો માઇન્ડ સેટ બદલાયો. કોરોના પછીનો સમય રિયલ એસ્ટેટ માટે ઘણો જ સારો રહ્યો. લોકોની માનસિકતા ને સ્પેન્ડિંગ પાવર બદલાયો. લોકો એમ માને છે કે આપણી પાસે પૈસા હોય તો સારી રીતે જીવન જીવવું જોઈએ. એ કારણે રિયલ એસ્ટેટમાં ખાસ્સી એવી ડિમાન્ડ પણ નીકળી.' 'હાથ જોડીને બેસી રહેવા કરતાં પ્રયાસો કરવામાં માનું છું'પ્રણવભાઈ કહે છે, 'ભગવાનની દયાથી હતાશા સાથે ક્યારેય જીવ્યો નથી. મારો એ પ્રકારનો માઇન્ડસેટ જ નથી. અમે એક જ વાતમાં માનીએ કે જે વસ્તુ હાથમાં લીધી તે ગમે તેમ કરીને પૂરી તો કરવાની જ. અમારો પોતાનો મોટો છે કે હતાશ થઈને બેસી રહેવાથી કોઈ ફાયદો નથી અને તેને કારણે કોઈ પરિણામ તો આવવાનું નથી. હતાશામાં હાથ જોડીને બેસી રહેવું એને બદલે શક્ય તેટલા પ્રયાસો કરવા વધુ સારું.' પ્રણવભાઈ માને છે, ‘અમારી થર્ડ જનરેશન નવરત્નમાં જોડાશે એમ મને લાગે છે, પણ જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે. અત્યારે તો બાળકો ભણી રહ્યાં છે ને અમે ક્યારેય બાળકોને ફોર્સ કર્યો નથી કે તમારે આ સંભાળવાનું છે. તેમને ગમશે તો આ બિઝનેસમાં જોડાશે અને તેમ થશે તો અમને ગમશે.’ 'કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધો કરી શકે, બસ મહેનત જરૂરી છે'છેલ્લે પ્રણવભાઈ આજની જનરેશનને સલાહ આપતાં કહે છે, 'કોઈ પણ માણસ કોઈ પણ ધંધો કરી શકે છે. તેને પોતાને શું કરવું છે તેની ક્લેરિટી હોવી જરૂરી છે અને તેની પાછળ કેટલી મહેનત કરી શકે તે વાત એટલી જ મહત્ત્વની છે, આ ઉપરાંત જે-તે બિઝનેસમાં કેટલું સસ્ટેન કરી શકે તે જોવું જરૂરી છે. સાચું કહું તો રિયલ એસ્ટેટના બિઝનેસમાં સસ્ટેનેબિલિટી ક્રાઇટેરિયા સૌથી વધુ મહત્ત્વનો છે. આ ફિલ્ડમાં સારો ને ખરાબ બંને સમય જોવાના આવશે. ખરાબ સમયમાં ટકી ગયા તો સારા સમયમાં તો ટકી જ જશો તે નક્કી છે. સૌથી વધારે તમારી ધગશ, જુસ્સો ને કંઈ પણ થાય આ તો હું કરીને જ રહીશ તે પ્રકારનો એટિટ્યૂડ વધારે જરૂરી છે.' ('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે ત્રીજા એપિસોડમાં જાણીશું નાનકડી દુકાનથી બીનોરી સુધીની સફર ખેડનારા રાજેશ શર્માની કહાની…)
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત એક એવા કેસની જેમાં બે સામાન્ય લોકોના મોત થયા અને સરકાર પર સવાલો ઉઠવા લાગ્યા. જૂનાગઢમાં થયેલા આ રહસ્યમય મોતનો મામલો એટલો ચગ્યો કે સરકારે એન્ટિ ટેરસિસ્ટ સ્ક્વોડને દોડાવવી પડી અને પછી ઇન્વેસ્ટિગેશનમાં જે ખુલાસા થયા તેની કોઈને જરાય કલ્પના પણ ન હતી. વાત છે નવેમ્બર, 2022ની. આ સમયે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન હતું એ પહેલાં જ જૂનાગઢમાં ચોંકાવનારી ઘટના બની. જૂનાગઢના ખારવાડ વિસ્તારમાં રહેલી એક મહિલા સાંજના સમયે રસોડાના કામકાજમાં વ્યસ્ત હતી. એના માટે એ દિવસ ખૂબ સામાન્ય જ હતો. પરંતુ તેના મોબાઇલ ફોનમાં રિંગ વાગી અને જાણે તેની દુનિયામાં તોફાન આવી ગયું. મોબાઇલ સ્ક્રિન પર પતિ ‘રફીક’નું નામ દેખાયું. એટલે કામ કરતાકરતા મહેમુદાએ ફોન ઉપાડ્યો. મહેમુદાએ ઉતાવળે હાથ લૂછી ફોન કાન પર ધર્યો, બોલો, કેટલે પહોંચ્યા? સામે છેડેથી કોઈ જવાબ ન આવ્યો. માત્ર ભારે શ્વાસ લેવાનો અવાજ સંભળાયો. એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો અને પછી એક અજાણ્યો અને ગંભીર અવાજ કાને પડ્યો. બેન હું નજીર બોલું છું. તમારા પતિ રફીકભાઈ આપણા ગાંધી ચોકમાં અચાનક પડી ગયા છે. અમે એમને સરકારી દવાખાને લઈ જઈએ છીએ. મહેમુદા કાંઈ વધારે સવાલ કરે એ પહેલાં જ ફોન કપાઈ ગયો. તેના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. એણે ધ્રૂજતા હાથે પોતાના 22 વર્ષના દીકરા ફૈઝાનને ફોન કર્યો. બેટા, જલ્દી ઘરે આવ. તારા પપ્પા... વાક્ય પૂરું થાય એ પહેલાં તો મહેમુદાની આંખોમાં ડરના આંસુ સરી પડ્યા. ફોન પર કાંઈ વધારે બોલી ન શકી. થોડી જ વારમાં દિકરો ઘરે આવ્યો. એટલે માએ માંડીને વાત કરી અને પછી તરત જ હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયા. મા-દીકરો હાંફળા-ફાંફળા થતાં જૂનાગઢની સરકારી હોસ્પિટલે પહોંચ્યા. હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યાં સુધી મહેમુદાના મનમાં સેંકડો સવાલો ઉભા થઈ ચૂક્યા હતા. સ્ટાફના બે-ત્રણ લોકોને પૂછપરછ કરીને પૂછ્યું કે ગાંધીચોકમાંથી એક પેશન્ટને લાવ્યા એ ક્યાં છે. જેમ-તેમ કરીને ઇમરજન્સી વોર્ડ સુધી પહોંચ્યા, ત્યાં ઘણી ચહલપહલ હતી. પણ મા-દીકરો પહોંચે એ પહેલાં તો ઘણું મોડું થઈ ગયું હતું. રફીક ઘોઘારીના શરીર પર સફેદ ચાદર ઢંકાઈ ચૂકી હતી. ડૉક્ટરને જાણ થઈ કે રફીકના પરિવારજન આવ્યા છે. I am sorry, અમે એમને બચાવી ન શક્યા. ડૉક્ટરના આ શબ્દો કાને પડતા જ એવું લાગ્યું કે હસતા-રમતા પરિવારની દુનિયા વેરવિખેર થઈ ગઈ. મા-દીકરાના આક્રંદથી સૌકોઈ સ્તબ્ધ હતા. પરંતુ આ માત્ર એક શરૂઆત હતી. હજુ રફીકના મૃત્યુનો આઘાત શમ્યો નહોતો ત્યાં જ સમાચાર આવ્યા કે ભરત ઉર્ફે જોન પીઠડીયા નામનો બીજો એક વ્યક્તિ પણ મૃત હાલતમાં લવાયો છે. એ પણ એ જ ગાંધી ચોક વિસ્તારમાંથી. ગાંધી ચોકમાં બે મોત અને બંનેના લક્ષણોમાં એક સામ્યતા હતી દારૂ. જૂનાગઢમાં જોતજોતામાં જ વાત ફેલાઈ ગઈ કે લઠ્ઠાકાંડ થયો છે. ચૂંટણીના ગણતરીના કલાકો બાકી હોય ત્યારે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થવો એ રાજકીય રીતે મુદ્દો બનતા વાર કેટલી લાગે! પોલીસ, નેતા, મીડિયામાં દોડધામ મચી ગઈ અને આખા ગુજરાતમાં આ મામલો ચર્ચાનો મુદ્દો બની ગયો. રાજકીય પક્ષોએ તુરંત જ સરકાર પર આક્ષેપો વરસાવવાની શરૂઆત કરી દીધી. મામલો હવે માત્ર સ્થાનિક પોલીસનો રહ્યો નહોતો, આ આબરૂની લડાઈ બની ગઈ હતી. અગાઉ અમદાવાદમાં 2009માં થયેલા લઠ્ઠાકાંડે ગુજરાત સરકારને શરમમાં મૂકી દીધી હતી અને જે તે સમયે દારૂબંધી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા હતા. એ સમયે 123 લોકો મોતને ભેટ્યા હતા અને 200 જેટલા લોકોએ આંખોની રોશની ગૂમાવી દીધી હતી. એટલે આ વખતે સરકાર પણ જરાય ઢીલી નીતિ દાખવવા માગતી ન હતી. જૂનાગઢના તત્કાલીન SP રવિ તેજા વાસમ શેટ્ટી અને તત્કાલીન રેન્જ IG મયંકસિંહ ચાવડા ગંભીર ચહેરે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા. તેમણે આખી ઘટનાનો તાગ મેળવ્યો અને ઝડપથી તપાસ કરવા માટેના દિશાનિર્દેશ આપ્યા. પણ આટલા સમયગાળામાં તો ગાંધીનગર સુધી કથિત લઠ્ઠાકાંડના પડઘા પડી ચૂક્યા હતા. તાત્કાલિક ધોરણે ગુજરાત ATSને મેદાનમાં ઉતારવામાં આવી. એ સમયના ADGP રાજકુમાર પાંડિયનને સ્પેશિયલ ચાર્જ સોંપી જૂનાગઢ મોકલવામાં આવ્યા. હવે આ કેસ વધુ ગંભીર બનતો જઈ રહ્યો હતો. લોકોમાં એવી દહેશત ફેલાઈ કે ઠેર-ઠેર લોકો દારૂ પીને ઢળી રહ્યા છે. પોલીસ કંટ્રોલ રૂમના ફોન સતત રણકવા લાગ્યા. પરંતુ જ્યારે પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચતી, ત્યારે કાં તો એ અફવા સાબિત થતી અથવા તો સામાન્ય માંદગી. પણ મોટો પ્રશ્ન એ હતો કે ગાંધી ચોક વિસ્તારમાં જે બે લોકોના મોત થયા એની પાછળનું કારણ શું હતું? 20 અનુભવી અધિકારીઓની એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી. એક બાજુ ચૂંટણીનો સમયગાળો હતો અને બીજી બાજુ બે રહસ્યમય મોત. શું આ ખરેખર લઠ્ઠાકાંડનો જ મામલો હતો કે પછી પડદા પાછળ કોઈ ઊંડું કાવતરું? તપાસ શરૂ થઈ ચૂકી હતી અને તેનું સત્ય ઝડપથી બહાર આવે એ ખૂબ જરૂરી બની ગયું હતું. LCBની એક’ટીમ તાત્કાલિક ગાંધી ચોક પહોંચી, જ્યાંથી રફીક અને ભરત બેભાન હાલતમાં મળ્યા હતા. રફીકની રિક્ષા ત્યાં જ બિનવારસી હાલતમાં પડી હતી. પોલીસે રિક્ષાના ખૂણેખૂણા તપાસ્યા. સીટની પાછળથી પ્લાસ્ટિકની 10 રૂપિયાવાળી સોડાની બોટલ મળી આવી. દેખાવમાં સામાન્ય લાગતી આ બોટલને ખોલતા જ દારૂની તીવ્ર ગંધ આવી. સાહેબ, આમાં દારૂ જેવું કંઈક છે, પણ રંગ થોડો વિચિત્ર લાગે છે. એક કોન્સ્ટેબલે બોટલ હાથમાં લેતા કહ્યું. અધિકારીએ તરત જ સૂચના આપી, એને સીલ કરો. અત્યારે જ FSLમાં તપાસ માટે મોકલી આપો. આપણને ખબર પડવી જોઈએ કે આમાં મિથેનોલ છે કે બીજું કંઈ. બીજી તરફ, સમગ્ર જિલ્લાના બુટલેગરો અને પ્રોહિબિશનના ગુનેગારોને ઉઠાવવાનું શરૂ થયું. એક પછી એક આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. તેમ છતાં પોલીસના હાથ ખાલી હતા. કોઈ મોટું નેટવર્ક કે નવા માલની સપ્લાયના સગડ મળતા નહોતા. FSLનો રિપોર્ટ આવતા વાર લાગે એમ હતી. પોલીસ માટે સૌથી મોટો સવાલ એ હતો કે જો બીજા કોઈ આવા કેસ આવ્યા નથી તો બન્ને મૃતક રફીક અને ભરત વચ્ચે સંબંધ શું? જ્યારે તપાસ ઉંડી ઉતરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. રફીક અને ભરત એકબીજાને ઓળખતા પણ નહોતા. એમની વચ્ચે કોઈ લેણદેણ નહોતી, કોઈ દુશ્મની નહોતી. આ બન્ને લોકો વચ્ચે એક જ વાત સમાન હતી ગાંધી ચોકમાં બનેલી ઘટના. પોલીસે જ્યારે રફીકનું બેકગ્રાઉન્ડ તપાસ્યું તો પ્રાથમિક તબક્કે કેટલીક જાણકારી મળી. રફીક આખો દિવસ રિક્ષા ચલાવતો હતો. સાંજે સાડા સાત-આઠ વાગ્યે ગાંધી ચોકમાં આવી જતો. ક્યાંકથી દારૂ પણ લઈ આવતો અને ત્યાં બેસીને પીતો. જ્યારે ભરત ઉર્ફે જોનને કોઈ વ્યક્તિ કંઈ કામ સોંપે અથવા રિક્ષા ચલાવવાનું કહે તો રિક્ષા ચલાવતો. બાકીનો દિવસ રસ્તા પર રખડતો અને સુઈ રહેતો. પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોની પૂછપરછ કરી ત્યારે એ સાંજનો ઘટનાક્રમ જાણવા મળ્યો. સાંજના 7:30 વાગ્યાનો સમય હતો.રફીક ઘોઘારી આખો દિવસ રિક્ષા ચલાવીને થાક્યો-પાક્યો ગાંધી ચોકમાં આવ્યો. એની પાસે ક્યાંકથી મેળવેલો દારૂ સોડાની બોટલમાં ભરેલો હતો. રફીકે રિક્ષા ઉભી રાખી, બોટલ ખોલી અને દારૂના બે ઘૂંટ ભર્યા. પરંતુ, ઘૂંટ ગળે ઉતરતા જ એને કંઈક અજીબ લાગ્યું. દારૂનો સ્વાદ હંમેશા જેવો હોય એવો નહોતો. એણે મોઢું બગાડ્યું અને કદાચ 'સ્વાદ ગમ્યો નહીં' એમ વિચારી બોટલ બંધ કરીને રિક્ષામાં જ મૂકી દીધી. તરત જ એ રિક્ષામાંથી નીચે ઉતર્યો અને સામે આવેલા પાનના ગલ્લે જઈ માવો લીધો. હજુ તો એ માવો મસળીને મોઢામાં મૂકવા જ જતો હતો કે ધબ દઈને રસ્તા પર ઢળી પડ્યો. લોકો દોડી આવ્યા, એમ્બ્યુલન્સ બોલાવી અને એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ભરત ઉર્ફે જોન આ બધું દૂરથી જોઈ રહ્યો હતો. એણે જોયું કે ભીડ વિખેરાઈ ગઈ છે અને રફીકની રિક્ષામાં એક બોટલ પડી છે. તકની શોધમાં રહેલા ભરતે રિક્ષા પાસે જઈ બોટલ ઉઠાવી અને સુંઘી. ભરતની આંખો ચમકી. એણે પણ બોટલ મોઢે માંડી. એને પણ સ્વાદ કંઈક વિચિત્ર લાગ્યો. ભરતે માત્ર બે જ ઘૂંટ પીધા અને બોટલ પાછી મૂકી દીધી. કમનસીબે એ બે ઘૂંટ એના માટે છેલ્લા સાબિત થયા. થોડી જ મિનિટોમાં ભરત પણ એ જ જગ્યાએ ફસડાઈ પડ્યો. તપાસ કરી રહેલા અધિકારીઓ માથું ખંજવાળવા લાગ્યા. જો આ લઠ્ઠાકાંડ હોત તો જૂનાગઢના અલગ-અલગ વિસ્તારોમાં આવા બનાવો બને એમ હતું. પણ અહીં તો માત્ર એક જ બોટલ હતી અને એ બોટલના બે-બે ઘૂંટ પીવાથી જ બે તંદુરસ્ત માણસોના મોત થઈ ગયા હતા. આ વાતના કારણે લઠ્ઠાકાંડની થિયરી ગળે ઉતરે એમ લાગતી ન હતી. એક પોલીસકર્મીએ કહ્યું, આ લઠ્ઠો નથી સાહેબ. આ કંઈક બીજું જ છે. એવું પણ બની શકે કે બોટલમાં કોઈ ઝેરી વસ્તુ હોય. હવે તપાસનો ધમધમાટ એ દિશામાં શરૂ થયો કે રફીક એ બોટલ લાવ્યો ક્યાંથી? શું એ ખરેખર દારૂ જ હતો? અને સૌથી મોટો સવાલ જે એમાં દારૂના બદલે ઝેરી પીણું હતું તો રફીકે પીધું શું કામ? આ સવાલો વચ્ચે બીજા દિવસની સવાર પડી. કેસની ગંભીરતાને જોતા FSL રિપોર્ટ ઝડપી આપવા માટે આદેશ અપાયો હતો, એટલે બીજા દિવસે બપોર પહેલાં જ તપાસ અધિકારીના હાથમાં રિપોર્ટ આવી પણ ગયો. રફીકની રિક્ષામાંથી મળેલી સોડાની બોટલમાં શું હતું? આ સવાલનો જવાબ આપતો FSLનો રિપોર્ટ એક ચોંકાવનારા ષડયંત્રની કહાની કહી રહ્યો હતો. FSLનો રિપોર્ટ ટેબલ પર પટકાયો અને રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રિક્ષામાંથી મળેલી એ સોડાની બોટલમાં માત્ર દારૂ નહોતો, પરંતુ એમાં સાયનાઇડ પણ ભેળવવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે આ રાહતના સમાચાર હતા કે પછી ચિંતા વધારનારા એ નક્કી કરવાનો સમય ન હતો. બસ એટલું સ્પષ્ટ હતું કે લઠ્ઠાકાંડ નથી, જેથી આવા અન્ય કેસ આવવાની સંભાવના પર પૂર્ણવિરામ લાગી ગયો. પરંતુ ગંભીર સવાલ એ હતો કે એક સામાન્ય રિક્ષાચાલક પાસેથી મળેલી દારૂની બોટલમાં સાયનાઇડ આવ્યું ક્યાંથી અને કેમ? રફીક જેવા સામાન્ય રિક્ષાચાલકને કોણ આટલી ક્રૂરતાથી મારવા માંગતું હોય? તપાસની એક ટીમ મહેમુદા ઘોઘારીના ઘરે પહોંચી. પતિના મૃત્યુ બાદ ઘરના ખૂણે-ખૂણે જાણે ગમગીની છવાયેલી હતી. મહેમુદાની આંખો રડી-રડીને લાલ થઈ ગઈ હતી. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી., પણ ગંભીર સવાલો સામે એ માત્ર ડૂસકાં ભરી રહી હતી. મહેમુદા, કોઈની સાથે તમારા પતિનો ઝઘડો હતો? રફીકભાઈને કોઈ ધમકી આપતું હતું? કોઈ એવું જેમના પર તમને શંકા હોય? મહેમુદાએ માથું ધુણાવ્યું, ના સાહેબ, એ તો બિચારા આખો દિવસ રિક્ષા ચલાવતા... કોઈની સાથે કંઈ લેવાદેવા નહોતા. પોલીસે રફીકના મિત્રો, સગાં-સંબંધીઓ, પડોશીઓ એમ ઘણા બધાની પૂછપરછ કરી. પણ પરિણામ શૂન્ય. જે કેસમાં લઠ્ઠાકાંડ સમજીને એન્ટિ ટેરસિસ્ટ સ્ક્વોડને ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું હતું, હવે ક્રાઇમની ભાષામાં એ “બ્લાઇન્ડ કેસ” બનવા જઈ રહ્યો હોય એમ લાગી રહ્યું હતું. ઘણી માથાકૂટ પછી પોલીસને રફીકનો એક નજીકનો ઓળખીતો મળી આવ્યો. પોલીસે આ વખતે સવાલના શબ્દો બદલી કાઢ્યા અને એક જુદો જ સવાલ પૂછ્યો, એવું કોઈ છે જેની સાથે રફીક પહેલા રોજ બેસતો-ઉઠતો હોય પણ છેલ્લા થોડા સમયથી એનાથી દૂરી બનાવી લીધી હોય? પેલા માણસે વિચાર્યું અને બોલ્યો, હા સાહેબ, એમની સોસાયટીમાં જ રહેતા આસિફભાઈ. એ બંને ગાઢ મિત્રો હતા, પણ હમણાંથી રફીકભાઈ એની સાથે દેખાતા નહોતા. પોલીસની ક્રાઈમ ડિટેક્શન વૃત્તિ જાગી ગઈ. રફીક અને આસિફની હિસ્ટ્રી ખંગાળવામાં આવી. કોલ ડિટેલ રેકોર્ડમાં એક ચોંકાવનારી વિગત સામે આવી. રફીક સાથે વાત ઓછી થતી હતી. પરંતુ આસિફ અને રફીકની પત્ની મહેમુદા વચ્ચે કલાકો સુધી ફોન પર વાતો થતી હતી. મહેમુદાને આ વખતે LCB ઓફિસે બોલાવવામાં આવી. પોલીસના ધારદાર સવાલોનું લિસ્ટ હતું. આસિફ સાથે આટલી બધી વાતો કેમ?, પહેલો જ સવાલ સાંભળીને મહેમુદાના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. “સાહેબ, રફીક ઘરમાં બહુ ઝઘડા કરતા એટલે હું આસિફને એમને સમજાવવા માટે બોલાવતી”, મહેમુદાએ પોતાનો બચાવ કર્યો. “સમજાવવા માટે આખી રાત વાતો થાય?”, ઓફિસરનો અવાજ ગુંજ્યો. જ્યારે પોલીસે પોતાની આગવી શૈલીમાં પૂછપરછ કરી ત્યારે મહેમુદાનું મૌન તૂટ્યું. એણે જે કબૂલાત કરી એ સાંભળીને અનુભવી પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. આ માત્ર એક પ્રેમપ્રકરણ નહોતું પણ છ લોકોનું એક ઠંડા કલેજે ઘડાયેલું મર્ડર પ્લાનિંગ હતું. એ જ સાંજે આ આખી ઘટનાથી અજાણ અને બેફિકર આસિફ જૂનાગઢના એક પાનના ગલ્લે ઊભો હતો. અચાનક LCBની ગાડી આવીને ઉભી રહી. આસિફ કંઈ સમજે કે ભાગે એ પહેલાં તો પોલીસ એને ઉઠાવીને જીપમાં નાખી ચૂકી હતી. આસિફ અને મહેમુદાની પૂછપરછમાં જે વિગતો બહાર આવી તેણે આખા કેસનું ચિત્ર બદલી નાખ્યું. પોલીસ હવે મહેમુદા અને આસિફ સિવાય અન્ય ચાર લોકોને પણ પકડી લાવી હતી. કુલ છ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા હતા. રફીકને રસ્તામાંથી હટાવવા માટે આટલા બધા લોકો કેમ જોડાયા?સાયનાઇડ જેવું ખતરનાક ઝેર ક્યાંથી આવ્યું?અને સૌથી મોટો સવાલ, ભરત ઉર્ફે જોનનું શું? એ તો આ ખેલમાં હતો જ નહીં! વાંચો, ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આવતીકાલના બીજા ભાગમાં સ્ફોટક ખુલાસા.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
વન વિભાગ એક્શન મોડમાં:વન વિભાગ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ, નખત્રાણા અને અંજાર રેન્જના કાર્ય વિસ્તારમાં શહેર કે ગામના પતંગ અને દોરાના વેપારીઓની દુકાનની મુલાકાત લઈ, ચાઇનીઝ તેમજ પક્ષીઓને નુકશાન પહોંચે તેવી તુક્કલ દોરીનું વેચાણ ન થાય તેની ચકાસણીની કરાઇ હતી. ભચાઉ રેન્જના ક્ષેત્રીય સ્ટાફ અને ભચાઉ વિસ્તરણ રેન્જના સ્ટાફ દ્વારા શહેરમાં સંયુક્ત રેલી યોજી ચકાસણી કરવામાં આવી હતી. પતંગ અને દોરાના વેપારીઓને પક્ષીઓને નુકસાન થાય તેવો સામાન ન રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વન વિભાગ દ્વારા ભચાઉ આજુબાજુના વિસ્તારમાં સમય સવારના 9 કલાક પહેલા અને સાંજના 5 કલાક બાદ પતંગ ન ચગાવવા સૂચનો કરવામાં આવ્યા હતાં. તા.10/01થી 20/01 દરમિયાન ભચાઉ રેન્જ કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે જિલ્લામાં ચાઇનીઝ દોરી પકડીપોલીસે ઉતરાયણના ભાગરૂપે પ્રતિબંધિત ચાઇનીઝ ચોરી ન વેચાય તેના માટે કમર કસી છે. કચ્છમાં અનેક સ્થળોએ પોલીસે ચાઇનીઝ દોરી પકડી ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જોકે વન વિભાગે હાલ કોઇ સ્થળે ચાઇનીઝ દોરી પકડી હોય તેવી વિગતો જારી કરી નથી !
એક બાળક જે ભૌતિક રીતે દ્રષ્ટિહીન હતો પરંતુ આંતરિક રીતે દિવ્ય દ્રષ્ટિથી જાગૃત હતો. અંજારના ધ્યાન ટાંકે આ ઝડપી અને ટેકનોલોજીના યુગમાં સામાન્ય લોકો સનાતન ધર્મને વધુ સમજી શકે અને લોકોના મનમાં ઉઠતાં પ્રશ્નોના નિવારણ હેતુથી એક સનાતન ગુરુ નામનું ચેટબોટ બનાવ્યું, જે વ્હોટ્સએપ પર ઉપલબ્ધ છે. સનાતન ગુરુ નામક ચેટબોટમાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી સનાતન સંસ્કૃતિ વિષયક પ્રશ્નો પૂછીને ઉત્તર મેળવી શકે છે. દિવ્ય દ્રષ્ટિને બાહ્ય જગતમાં પ્રકાશિત અને વધુ ઉજાગર કરવા માટે સહાયક સ્ત્રોતની શોધમાં તેને નવચેતન અંધજન મંડળ માધાપરનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. 2010માં જન્મેલા ધ્યાનનું જીવન 10 વર્ષ સુધી સહજતાથી ચાલતું હતું પરંતુ 2019ની એક સવારે શાળાએ જવા માટે તે ઘરમાં ઠાકોરજીને વંદન કરતાં હાથ જોડીને આંખો બંધ કરીને ત્યારે જ અચાનક તેની દ્રષ્ટિ શૂન્ય થવા લાગી. ચિંતિત માતા-પિતા તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. ઓપરેશન બાદ દ્રષ્ટિ પાછી તો આવી પરંતુ પરમાત્માની યોજના કંઈક અલગ જ હતી. એક વર્ષ બાદ, તેની દ્રષ્ટિ ફરી ચાલી ગઈ. બે વર્ષ સુધી તેણે સામાન્ય અભ્યાસ ચાલુ રાખ્યો બાદમાં 2023માં નવચેતનમાં આવ્યા બાદ કેવલ આધ્યાત્મિક જગતમાં જ નહીં પરંતુ સ્પોર્ટ્સ, સંગીત, સાહિત્ય, સામાજિક અને માનસિક દરેક રીતે તેનો વિકાસ થયો. ધ્યાન હાલમાં ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યો છે. મેદાનમાં ચાલવામાં પણ ડર લાગતો હતો પરંતુ શિક્ષકની મહેનત અને પરમાત્માની કૃપાથી તે જ મેદાનમાં હવે દોડવા લાગ્યો છે. તે અહીંના ફૂટબોલ તરફ વળ્યો. તેણે બે વખત નેશનલ ફૂટબોલ અને એક વખત પેરા એથ્લેટિક્સમાં નેશનલ કક્ષાએ ભાગ લીધો છે. ઉપરાંત ગોલબોલમાં પણ નેશનલ રમ્યો છે. સંગીતને તે પરમાત્માની પ્રાપ્તિનું સાધન માને છે. અહીં તેને ઓડિયો સ્વરૂપે દરેક પુસ્તક, ગ્રંથ અને સાહિત્યો ઉપલબ્ધ થયા. જેથી તેનામાં નવા વિચારો અને શક્તિનો સંચાર થયો. નવચેતન અંધજન મંડળમાં આવીને ધ્યાન પોતાની અંતરવાણીને બહાર પ્રગટ કરી શક્યો છે. ધ્યાનની આ ગાથા દ્વારા સાબિત થાય છે કે જ્યારે જીવનમાં એક દ્વાર બંધ થાય છે, ત્યારે પરમાત્મા અનેક દ્વાર ખોલી દે છે.
મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરમાં પતિએ જ પોતાની પત્નીને છરીના ઘા મારી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. અડધી રાતે ચા બનાવવા માટે જગાડ્યા બાદ કામધંધા બાબતે રકઝક થતા આરોપી પતિએ સુઈ રહેલા સંતાનોના રૂમનો દવાજો બહારથી બંધ કરી દીધો હતો અને છરીના સાત ઘા મારી 53 વર્ષીય પત્નીને મોતનેઘાટ ઉતારી દીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા મરીન પોલીસ મથકે ફરિયાદી અલ્ફાના અભુ ગોધાએ આરોપી પિતા અભુ મામદ ગોધા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ રવિવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી સહીતના પરિવારજનો રાત્રે જમ્યા બાદ સુઈ ગયા હતા. ત્યારે આરોપી પિતાએ ફરિયાદીના 53 વર્ષીય માતા હવાબાઈ ગોધાને ચા બનાવવા માટે જગાડ્યા હતા. એ દરમિયાન આરોપીએ પત્ની સાથે કામધંધા બાબતે બોલાચાલી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપીએ છરીથી પોતાની પત્નીને પેટ, કાન અને ગાળાના ભાગે સાત જેટલા ઘા માર્યા હતા. બનાવ બાદ આરોપી સ્થળ પરથી પલાયન થઇ ગયો હતો. ફરિયાદીની ઈજાગ્રસ્ત માતાને સર્વર માટે 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હત્યાના બનાવને પગલે મુન્દ્રા મરીન પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફરાર થયેલા આરોપીને એલસીબીએ ભદ્રેશ્વર ગામના રાવરી તળાવ પાસે બાવળની ઝાડીઓમાંથી પકડી પાડ્યો હતો. નોંધનીય છે કે ચાલુ વર્ષે જાન્યુઆરી પ્રથમ માસમાં જ હત્યાના બે બનાવ બની ગયા છે. આ બંને બનાવ મુન્દ્રા તાલુકામાં બનતા પોલીસમાં દોડધામ ફેલાઈ છે. આરોપીને અડધી રાતે ચા પીવાની ટેવસમગ્ર મામલે મુન્દ્રા મરીન પોલીસ મથકના પીઆઈ પી.કે.રાડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપીને દરરોજ રાત્રે ચા પીવાની ટેવ હતી. જેથી રવિવારે રાત્રે પણ તેણે પોતાની પત્નીને બાર વાગ્યાના અરસામાં ચા બનાવવા માટે જગાડી હતી. આરોપી અગાઉ વડાલા ગામે આવેલી નીલકંઠ કંપનીમાં ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી આરોપી કોઈ કામકાજ કરતો ન હતો. ચાલુ વર્ષે જાન્યુઆરી પ્રથમ માસમાં જ હત્યાના બે બનાવ બની ગયા છે. આ બંને બનાવ મુન્દ્રા તાલુકામાં બનતા પોલીસમાં દોડધામ ફેલાઈ છે. સંતાને અડધી રાતે બારીમાંથી નરી આંખે પિતાની ક્રુરતા જોઈફરિયાદી અલ્ફાના, તેની બહેન મુસ્કાન અને દાદી રહીમાબાઈ મકાનની બાજુમાં આવેલા ડેલામાં સુતા હતા અને મકાનમાં આરોપી પિતા સાથે ભાઈ અને માતા સુઈ રહ્યા હતા. રાત્રે અચાનક માતાની ચીસો સાંભળી ફરિયાદી જાગી ગયા હતા અને ડેલાનો દરવાજો ખોલવા જતા બહારથી બંધ કરેલો હતો. જેથી બારી ખોલીને જોયું ત્યારે આરોપી પિતા ફરિયાદીની માતાને છરીના ઘા મારી રહ્યા હતા. જે બાદ આરોપી મોબાઈલ અને છરી સાથે દીવાલ કુદીને ભાગી ગયા હતા. ત્યારબાદ કાકાને ફોન કરતા ઘરનો દરવાજો બહારથી ખોલ્યો હતો.
ભુજથી બચાઉ જતા હાઈવેનું કામ ચાલુ છે જેના કારણે રસ્તો સાંકડો અને ટ્રાફિકની પણ સમસ્યા રહે છે. તેવામાં બીકેટી કંપની નજીક પત્ની સાથે બાઈક પર ખરીદી કરવા માટે જતા સમયે ડમ્પરના ચાલકે પાછળથી ટક્કર મારતા મુળ સંતરામપુરના 28 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ કાળીતલાવડી ગામની વાડી પર રહેતા ફરિયાદી શિલ્પાબેન અજયકુમાર બીલવાળે પદ્ધર પોલીસ મથકે આરોપી ડમ્પર નંબર જીજે 12 સીટી 8837 ના ચાલક વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 11 જાન્યુઆરીના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી તેમના 28 વર્ષીય પતિ અજયકુમાર લલ્લુભાઈ ઉર્ફે લાલુભાઈ બીલવાળ સાથે બાઈક નંબર જીજે 17 બીકયું 3245 વાળી પર બીકેટી નજીક રવિવારે ભરાતી બજારમાં ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. એ દરમિયાન બીકેટી કંપનીના ગેટ નંબર 4 સામે આરોપી ડમ્પરના ચાલકે બેફામ હંકારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ફરિયાદીને નાની મોટી ઈજાઓ સહીત પગના ભાગે ફેકચર થયું હતું. જ્યારે ફરિયાદીના પતિને ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પદ્ધર પોલીસે આરોપી ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાસ્કર ઈનસાઈટઆડેધડ રસ્તાનું કામ અને બેફામ ચાલતા ભારે વાહનોહાલમાં ભુજથી ભચાઉ જતા હાઈવે માર્ગનું કામ ચાલી રહ્યું છે. જેમાં રસ્તાની બન્ને તરફ ખોદકામ તો ક્યાંક વચ્ચ્ચેની સાઈડે ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને સાંકળા માર્ગ પરથી પસાર થવું પડે છે. એમાં પણ મસમોટા ખાડાઓ પડેલા છે જે પુરવામાં આવ્યા નથી. આ ઉપરાંત નવો બનેલો રસ્તો પૂરો થાય ત્યાં પણ કોઈ આડસ મુકવામાં આવ્યો નથી અને માર્ગ પર પથરાયેલા કાંકરા વાહન ચાલકો માટે અકસ્માત નોતરે તેમ છે. આ માર્ગ પર ભારે વાહનોની સતત અવરજવર રહે છે. જે બેફામ વાહન હંકારતા હોવાથી કાર અને બાઈક ચાલકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ છે.
મેડિકલ મિરેકલ:જઠર - અન્નનળી દૂર કરી મોઢાનું સીધું આંતરડા સાથે જોડાણ કરી જીવ બચાવાયો
જી.કે. જનરલ હોસ્પિટલમાં એસિડ પી ગયેલા યુવાનના સખત રીતે દાઝેલા જઠરને દૂર કર્યા બાદ બળેલી અન્નનળીને નિષ્ક્રિય કરી મોઢાને આંતરડા સાથે સીધું જોડાણ આપી ત્રિસ્તરીય ઓપરેશન કરાયું. જનરલ સર્જરી, ENT અને એનેસ્થેટિક વિભાગે કરેલા આ ઓપરેશનથી આજે તે જઠર અને અન્નનળી વિના પણ ખાઈ પી શકે છે. ઓન્કોલોજીસ્ટ અને આસિ.પ્રોફે. ડો.હેત સોની, ચીફ મેડિ.સુપ્રિ.અને કાન,નાક અને ગળાના સિનિ.સર્જન ડો.નરેન્દ્ર હિરાણી તેમજ રાજકોટના ગેસ્ટ્રો સર્જન ડો.રાજન જાગડેએ આ મુશ્કેલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી. 23 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી લેતા પાચનતંત્રના મુખ્ય અંગ જઠર અને અન્નનળી સંપૂર્ણ બળી ગયા હતા. દાઝેલા બંને અવયવો પૈકી જઠરને દૂર કરાયું.બીજી તરફ અન્નનળી પણ બળી ગઈ હોવાથી તેને નિષ્ક્રિય કરી દેવામાં આવી. દર્દીને બચાવવા તેને ખોરાક લેતો કરવો જરૂરી હતો. જેથી ખોરાકના પાચન માટે મોટા આંતરડાના વચ્ચેના ભાગને કાપી એ કાપેલા હિસ્સાને આંતરડાના પ્રવેશદ્વારથી લઈ સીધું મોઢાના પાછળના ભાગ સાથે જોડી દઈ અન્નમાર્ગ તૈયાર કરાયો.પરિણામે યુવાન પ્રારંભમાં જ્યુસ અને હવે નિરાંતે ખોરાક લઈ શકે છે. સંભવતઃ કચ્છમાં આ પ્રકારનું જટિલ પ્રથમ ઓપરેશનએસિડને કારણે ગળામાં સ્વરપેટી દાઝી ગઈ હોવાથી તેને પણ ENT સર્જનને દૂર કરી દીધી અને ગળામાં છેદ કરી શ્વાસ લઈ શકે એ માટે ટ્રેકિયોસ્ટોમી કરાઇ અને યુવાન સંપૂર્ણપણે ખોરાક અને શ્વાસ લઈ શકે છે. શસ્ત્રક્રિયામાં ડો.તીર્થ પટેલ,ડો.કિશન મીરાણી અને ડો.કુલદીપ જાદવે સહયોગ આપ્યો હતો.
કચ્છ યુનિવર્સિટી દ્વારા ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ પધ્ધતિની કરાયેલી શોધને પેટન્ટ મળી છે.ભારત સરકારની પેટેન્ટ ઓફિસ દ્વારા પેટેન્ટ એક્ટ 1970 હેઠળ 20 વર્ષ માટે કચ્છ યુનિ.ને ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ કરવાની પધ્ધતિ માટે પેટેન્ટ અપાઈ છે. આવનારા દિવસોમાં આ પેટન્ટનુ કોમર્શિયલ લાયસેન્સિંગ કરવાનું કામ કરવામાં આવશે. ભારત વિશ્વનું બીજા નંબરનું ઘઉંનું ઉત્પાદન કરતો દેશ છે. જેમાં વર્ષ 2023-24માં 113.3 - 117.9 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં મોટા પાયે ઘઉંની ખેતી થાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 2-6-2021ના ઘઉંની ક્વોલોટી જાણવા રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈ બહાર પાડવામાં આવી હતી.જેમાં ભાગ લેનારા લોકોએ ઘઉંની ક્વોલોટી જાણવા માટેની એક્યુરેટ અને ઝડપી પદ્ધતિ વિકસાવવાની હતી. કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના એસો.પ્રોફેસર ડો. વિજય રામ તેમજ એનાલિટિકલ કેમેસ્ટ્રિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કૌશિકી બેનરજી અને જય જોશીએ હરીફાઈમાં ભાગ લીધો.જેમાં અલગ અલગ રાઉન્ડ પછી છેલ્લા રાઉન્ડ માટે તેઓને દિલ્હી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની લેબમાં બોલાવાયા અને એક્સપર્ટની હાજરીમાં પ્રયોગો કર્યા જે સફળ રહ્યા હતા. ડો.વિજય રામ અને ડો ગિરીન બક્ષીના માર્ગદર્શનમાં પેટેન્ટ ફાઇલિંગની પ્રક્રિયા કરાઈ હતી. જેમાં જોવામાં આવ્યું કે, આ તદ્દન નવી પદ્ધતિ છે. જેથી અલગ અલગ રાઉન્ડના અંતે 12 જાન્યુઆરી 2026ના પેટન્ટ ઓફિસ દ્વારા 20 વર્ષ માટે કચ્છ યુનિવર્સિટીને ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ કરવાની પધ્ધતિ માટે પેટેન્ટ અપાઈ છે. યુનિવર્સિટીનું નામ રોશન કરતા કુલપતિ ડો. મોહન પટેલ અને રજિસ્ટ્રાર ડો. અનિલ ગોર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગોડાઉનમાં રહેલા પાકની ગુણવતા જાળવવી જરૂરીફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં 2500 ગોડાઉન સ્થાપવામાં આવ્યા છે જ્યાં ઘઉં, ચોખા વગેરે રાખવામાં આવે છે અને જરૂર અનુસાર લોકોને આપવામાં આવે છે. આ ગોડાઉનમાં રહેલા પાકની ક્વોલોટી સારી છે કે નહિ તે જાણવું જરૂરી છે. જેથી લોકોના સ્વાસ્થ્યને કોઈ ખરાબ અસર ના થાય.આ માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું.
યુવાને લગાવી મોતની છલાંગ:હમીરસરમાં કૂદી 39 વર્ષીય યુવાનનો આપઘાત
શહેરનું હદય ગણાતુ હમીરસર તળાવ હવે આપઘાત કરવાનું સ્થળ બની ગયું હોય તેમ અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. ગુરુવારે 55 વર્ષીય મહિલાના મોતની ઘટનાના પાંચમાં દિવસે જ અરીહંત નગરના 39 વર્ષીય યુવાને રાજેન્દ્ર પાર્ક નજીકથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જેમાં આર્થિક અને માનસિક કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના અરીહંત નગરમાં રહેતા 39 વર્ષીય વરુણભાઈ દામજીભાઈ પલણે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ સોમવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો.શહેરના હદયસમા હમીરસર તળાવના રાજેન્દ્ર પાર્ક નજીકથી હતભાગી યુવાને તળાવમાં છલાંગ લગાવી હતી. બનાવની જાણ થતા જ યુવાનના દેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદ સ્થળ પર દોડી આવેલી પોલીસે હતભાગી યુવકની ઓળખ કરી હતી. સમગ્ર મામલે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એન.બી.ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી યુવાનનું અકસ્માત થયું હતું. જેમાં માથાના ભાગે ઈજાઓ પહોંચતા છેલ્લા છ મહિનાથી માનસિકની દવા ચાલુ હતી. તેમજ હતભાગી યુવાને મકાન ખરીદ્યો હતો જેના રૂપિયા બાબતે પણ આર્થિક રીતે ખેંચાયેલો હતો. જેના કારણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે. બે તરવૈયાઓ બે પાળીમાં તૈનાત રાખવાની વાતો હવામાંઆખા દેશમાં ભુજનું હમીરસર તળાવ એકમાત્ર છે જે છલકાય ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા એક દિવસની રજા જાહેર કરવામાં આવે છે અને આખો શહેર લાપસીના આંધણ મૂકી ઉજવણી કરે છે. ભારત સરકારે તળાવને જળ વિરાસત જાહેર કર્યું છે. પણ તળાવ વારંવાર આપઘાત કરવાનું સ્થળ બની ગયું હોય તેમ અવારનવાર મોતના બનાવો બની રહ્યા છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. થોડો સમય અગાઉ નગરપાલિકા દ્વારા અગ્નિશમન સેવા કેન્દ્રના બે તરવૈયાઓ બે પાળીમાં તૈનાત રાખવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ હમીરસરમાં મોતની ઘટનાઓ એક બાદ એક ચાલુ જ છે જે ચિંતા જનક છે. ખાસ કરીને રાજેન્દ્ર પાર્ક અને પાવડી વિસ્તાર આપઘાત માટે જાણીતો છે કારણ કે અહી સુરક્ષા વ્યવસ્થા છે જ નહી. આ બન્ને સ્થળેથી કેટલાક લોકો તરવા માટે પણ જાય છે. આ ઉપરાંત લોકોની અવાર જવર હોતી નથી. ખરેખર અહી સીસીટીવી કેમેરા લગાવી, બાવળોની ઝાડી સહીતના અવાવરૂ સ્થળ દુર કરી વિસ્તારને ખુલ્લો કરવો જોઈએ જેથી લોકોની અવાર જવર વધશે તો આપઘાતના બનાવ ઘટશે.અહીં વિવિધ સ્થળોએ બોર્ડ અને કાયમી તરવૈયાઓ રાખી તેના મોબાઇલ નંબર મુકી શકાય છે. દોઢ વર્ષમાં 10થી વધુ લોકોના મોતહમીરસર તળાવમાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન દસથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. નોંધનીય છે કે ગત ઓગષ્ટ મહિનામાં જ હમીરસર તળાવમાં ડૂબવાને કારણે પાંચ લોકોના મોત થઇ ગયા હતા. જે બાદ ગત 29 ઓક્ટોબરના એક યુવાનનું મોત થયું હતું. જે બાદ 8 ડીસેમ્બરના ભિક્ષુકવૃતિ કરતી કિશોરીનું ન્હાવા જતા સમયે મોત નીપજ્યું હતું. અને છેલ્લે 8 જાન્યુઆરીના 55 વર્ષીય મહિલાનું તરતો દેહ તળાવમાંથી મળી આવ્યો હતો જેના પાંચમાં દિવસે વધુ એક મોતની ઘટના સામે આવી છે.
‘ચક દે ચીકી’ અભિયાન:‘ચક દે ચીકી’ અભિયાન થકી 750 કિલોથી વધુ ચીકીનું વિતરણ કરાયું
ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે પોષણ માસની ઉજવણી કરાઈ હતી. જેમાં સંસ્થાના સંચાલક ઋત્વિક પુરોહિત દ્વારા ‘ચક દે ચીકી’ અભિયાન હેઠળ 750 કિલોથી પણ વધુ ચીકીનું વિતરણ કરાયું હતું. ઋત્વિક પુરોહિતે જણાવ્યું હતું કે, સંસ્થા શહેરમાં પોષણ જાગૃતિ માટે નવીન પહેલો કરવાનું પોતાનું ધ્યેય બનાવી ચૂક્યું છે. પોષણની ઊણપ બાળકોમાં એક ગંભીર સમસ્યા બની રહી છે. કુપોષણથી બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ પર અસર પડે છે. સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો થતાં હોવા છતાં હજી પણ અનેક પરિવારોમાં પૌષ્ટિક આહાર સરળતાથી ઉપલબ્ધ નથી. આ પૃષ્ઠભૂમિમાં ‘ચક દે ચીકી’ જેવી પહેલો સમાજમાં પોષણ વિશે જાગૃતિ વધારવામાં તેમજ જરૂરિયાતમંદોને સીધી સહાય પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મનરેગા યોજનામાં સરકારે કરેલા બદલાવ સામે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ધરણા યોજી કોંગ્રેસના કાર્યકરોએ સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે સરકારે કરેલા બદલાવણા કારણે ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. બીજી તરફ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 50 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાના નામ અને તેની નીતિઓમાં કેન્દ્ર સરકાર કરેલા બદલાવ સામે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી રહ્યું છે. જે અંતર્ગત શહેરના ગાંધી નગરગૃહ ખાતે કોંગ્રેસે પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ગ્રામિણોને રોજગાર આપતા આ કાયદામાં સરકારે મનમાની કરી, ફંડમાં ભારે કપાત કરી છે. નવી જોગવાઈઓ મુજબ ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવાયાના હોવાના આક્ષેપ હતા.
મારામારી:ચોખંડી ખાતે સેફ્ટી બેલ્ટના વિતરણ સમયે 2 વાહનની ટક્કરથી મારામારી
શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ચોખંડી વિસ્તારમાં સેફટી બેલ્ટના વિતરણનો કાર્યક્રમ સોમવારે સવારે યોજવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધસમસતા રોડ પર બે વાહન ચાલકો વચ્ચે ટક્કર થઇ હતી જેના પગલે કાર્યક્રમની વચ્ચે બંને વાહન ચાલકો સામ સામે આવી ગયા હતા અને ઝપાઝપી થઇ હતી. ઉત્તરાયણના તહેવારોને લઇને કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ચોખંડી વિસ્તારમાં ટ્રાફીક વધારે હતો તે સમયે વાહન ચાલકોને રોકીને સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન બે વાહન વચ્ચે નજીવી ટક્કર થઇ હતી. જેથી બંને વાહનના ચાલકો સામ સામે આવી ગયા હતા. વાહનની ટક્કરના કારણે ઝપાઝપી કરતાં વાહન ચાલકોને કોંગ્રેસના કાર્યકરોએ અટકાવ્યા હતા. ટ્રાફિક મેનજમેન્ટના અભાવના કારણે ઘટના બની હતી. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાઇ ગયા હતા. નજીવી બાબતે સવારના સમયે કામ ધંધે જતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. સતત 15 મિનિટ સુધી ડ્રામા ચાલ્યો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો પડી ગઇ હતી. કોંગ્રેસના કાર્યકરોએ ટ્રાફીકને હટાવવાની કામગીરી પણ કરી હતી. કોંગ્રેસ દ્વારા 5 હજાર જેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિવિધ સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી વાહનચાલકોને બચાવવા સેફટી બેલ્ટનું વિતરણ કરાય છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંબંધિત રહ્યા. તેમણે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા. બીજા સમાચાર સર્વેલન્સ સેટેલાઇટ લઈને ગયેલા ઇસરો રોકેટના ગાયબ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચના SIR કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. 2. સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાઓના મુદ્દા પર સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. અમેરિકાએ કહ્યું, ભારતથી વધુ કોઈ દેશ મહત્ત્વનો નહીં:કાલે બંને દેશ ટ્રેડ ડીલ વિશે વાત કરશે, ટ્રમ્પના ભારત આવવાનાં પણ અમેરિકન રાજદૂતે એંધાણ આપ્યાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે સોમવારે પદભાર સંભાળી લીધો છે. પોતાના પહેલા સંબોધનની શરૂઆત ગોરે ‘નમસ્તે’ સાથે કરી અને કહ્યું હતું કે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે અહીં હોવું તેમના માટે ગર્વની વાત છે. ગોરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેની મિત્રતાને સાચી ગણાવી. તેમણે કહ્યું હતું કે સાચા મિત્રો અસહમત થઈ શકે છે, પરંતુ અંતે હંમેશાં પોતાના મતભેદોને ઉકેલી લે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ISROનું PSLV-C62 રોકેટ રસ્તો ભટક્યું, મિશન ફેલ:ઈસરોએ કહ્યું, મિશનના ત્રીજા સ્ટેજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ; અન્વેષા સહિત 15 સેટેલાઇટ લઈને ગયું હતું ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો વર્ષનો પ્રથમ સેટેલાઈટ મિશન ફેલ થયો છે. સોમવારે સવારે 10:18 વાગ્યે આંધ્રપ્રદેશના હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C62 રોકેટે અન્વેષા સહિત 15 સેટેલાઈટ લઈને ઉડાન ભરી હતી. ઈસરોના જણાવ્યા મુજબ, મિશનના ત્રીજા સ્ટેજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સેટેલાઈટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં અને એ રસ્તો ભટકી ગયો હતો. ISROના વડા ડૉ. વી. નારાયણને એક નિવેદન જાહેરી કરીને કહ્યું, “ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ચાંદીના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક વધારો:એક જ દિવસમાં રૂ.14,000નો વધારો, સોનાનો ભાવ પણ વધી રૂ.1.40 લાખે પહોંચ્યો; જાણો હજી કેટલા ભાવ વધી શકે સોના-ચાંદીના ભાવ આજે (12 જાન્યુઆરી) ઓલ ટાઈમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,883 રૂપિયા વધીને 1,40,005 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,37,122 રૂપિયા/10g પર હતો. આ પહેલાં 29 ડિસેમ્બર 2025ના રોજ સોનાની કિંમત 1,38,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી. જ્યારે એક કિલો ચાંદીની કિંમત 14,475 રૂપિયા વધીને 2,57,283 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે એની કિંમત 2,42,808 રૂપિયા પ્રતિ કિલો હતી. આ પહેલાં 7 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમત 2,48,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી. 4. વેનેઝુએલા પર કબજા પછી ટ્રમ્પનો વધુ એક ધડાકો:પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા, સો.મીડિયા પર પોસ્ટ શેર કરી, જાન્યુઆરીથી પદ સંભાળવાનો ઉલ્લેખ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી છે. તેમાં ટ્રમ્પની તસવીર સાથે 'એક્ટિંગ પ્રેસિડેન્ટ ઓફ વેનેઝુએલા' લખેલું છે. પોસ્ટમાં જાન્યુઆરી 2026થી પદ સંભાળવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, ટ્રમ્પે પોતાને અમેરિકાના 45માં અને 47માં રાષ્ટ્રપતિ તરીકે પણ દર્શાવ્યા છે. આ પોસ્ટને લઈને વ્હાઇટ હાઉસ કે અમેરિકી પ્રશાસન તરફથી કોઈ ઔપચારિક નિવેદન સામે આવ્યું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. પહેલી પત્ની ઓસ્ટ્રેલિયન, બીજી બનશે આઈરિશ:શિખર ધવને છૂટાછેડાના 3 વર્ષ બાદ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી; સોફી શાઇન અમેરિકન કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર શિખર ધવને સોમવારે ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈની જાહેરાત કરી. ધવને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. બંને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં હતા અને મે 2025માં પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. ગયા વર્ષે ધવન અને સોફીને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન સાથે જોવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બંને એક મીડિયા કોન્ક્લેવમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં ધવને ઇશારામાં ફરીથી પ્રેમ મળવાની વાત કહી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અરિહાની આવવાની આશા જાગી, મોદીએ જર્મન ચાન્સેલર સામે મુદ્દો ઉઠાવ્યો:પતંગ મહોત્સવમાં મોદીએ ફિરકી પકડી ને મર્ઝે પતંગ ચગાવ્યો; બંને દેશ વચ્ચે વિઝામુક્ત મુસાફરી PM મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે (12 જાન્યુઆરી) સવારે 9 વાગ્યે PM મોદીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી. અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવી મોદી-ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળી ભારત-જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો હતો. અહીં તેમણે રિવરફ્રન્ટ પણ જોયો હતો. બાદમાં બંને નેતા ગાંધીનગર મહાત્મા મંદિર જવા નીકળ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતમાં 57 વર્ષના આધેડનું 6 વર્ષની માસૂમ પર દુષ્કર્મ:દાદા પૌત્રને ઘરે મુકવા ગયા ને આધેડે પોતાની જ દુકાનમાં બાળકીને શિકાર બનાવી, આરોપીની ધરપકડ સુરતમાં દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર બનાવો વધી રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં વિકૃત માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 57 વર્ષના આધેડે માત્ર છ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આખરે માસૂમે સઘળી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આધેડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પૌત્ર-પૌત્રીને રમાડવા દાદા ઘરની નીચે લઈ ગયા સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના અસરામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા. આ દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો હતો જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ રાયસીના હિલ્સ પાસે નવી PM ઓફિસ તૈયાર:અહીં નવું આવાસ પણ બની રહ્યું છે; મોદી આ મહિને શિફ્ટ થઈ શકે છે, બે મુહૂર્ત જોવામાં આવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ ચીને જમ્મુ-કાશ્મીરની શક્સગામ ઘાટીને પોતાની ગણાવી:કહ્યું- પાકિસ્તાન સુધી રસ્તો પોતાના વિસ્તારમાં બનાવી રહ્યા છે, ભારતે તેને ગેરકાયદેસર કબજો ગણાવ્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી તો યુવતીની હત્યા:બેંગલુરુમાં 18 વર્ષના યુવકે સોફ્ટવેર એન્જિનિયરને મોતને ઘાટ ઉતારી, પાડોશી જ આરોપી નીકળ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ એક-બે કે 100 નહીં અમારી પાસે હજારો સુસાઈડ બોમ્બર તૈયાર:જૈશ-એ-મોહમ્મદ ચીફની ખુલ્લી ધમકી, આતંકી મસૂદ અઝહરની નવી ઓડિયો ક્લિપ વાઇરલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. મોંઘવારીઃ શાકભાજી-દાળના ભાવ વધવાથી ડિસેમ્બરમાં મોંઘવારી વધી:3 મહિનામાં સૌથી વધુ, 1.33% પર પહોંચી, નવેમ્બરમાં 0.71% હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ભવિષ્યઃ 2026માં ગુરુના બેવડા ગોચરનો પ્રભાવ:મિથુન, કર્ક, સિંહ અને ધન સહિત 8 રાશિ નસીબદાર રહેશે, જાણો તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે બદલાશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ક્રિકેટઃ ICCએ કહ્યું– બાંગ્લાદેશને ભારતમાં જ T20 વર્લ્ડકપ રમવો પડશે:લોકેશન બદલવાની માગણી ફગાવી; કહ્યું– અમે તપાસ કરી, ભારતમાં કોઈ ખતરો નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ પોતે ખોદેલી કબરમાં જ વૃદ્ધને દફનાવવામાં આવ્યા:મોત પહેલા પત્નીની કબરની બાજુમાં બનાવી હતી પોતાની કબર, 80 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા તેલંગાણાના લક્ષ્મીપુરમ ગામના રહેવાસી નક્કા ઇન્દ્રય્યાનું 80 વર્ષની ઉંમરે 11 જાન્યુઆરીએ અવસાન થયું. તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમને તે જ કબરમાં દફનાવવામાં આવ્યા જે તેમણે પોતે બનાવી હતી. તેમનું કહેવું હતું કે દુઃખના સમયે તેમના બાળકોને કોઈ બોજ ન ઉઠાવવો પડે તેથી તેમણે આવું કર્યું. ઇન્દ્રય્યાએ તેને 'આખરી આરામગાહ' નામ આપ્યું હતું અને પત્નીની કબરની બાજુમાં કબર બનાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પનો તગડો ઓઇલ પ્લાન:પેટ્રોલ-ડીઝલ સસ્તાં થઈ શકે, ડોલરને બચાવવા વેનેઝુએલાનો ખેલ પાડ્યો, અમેરિકાની આડોડાઇથી ગુજરાત માથે 3 જોખમ 2. આજનું એક્સપ્લેનર:ત્રીજા સ્ટેજમાં કેવી રીતે નિષ્ફળ ગયું ISROનું રોકેટ લોન્ચ મિશન, 16 સેટેલાઈટ સ્પેસમાં ગુમ; 8 મહિનામાં બીજી વાર આવું ફેલિયર 3. ગરીબ પરિવારમાં જન્મેલો અમદાવાદી આજે કરોડોમાં આળોટે છે:'પપ્પાનું કરંટથી મોત, માતાની કાળી મજૂરી'; પારસ પંડિતે અમદાવાદમાં પત્નીને મહેલ જેવો બંગલો ગિફ્ટમાં આપ્યો 4. વડોદરામાં કોહલીને મળીને રાતોરાત વાઇરલ થયેલો ટેણિયો કોણ?:ચહેરો, આંખ, સ્મિત, હાવભાવ બધું મળતું આવે; જોતાંવેંત વિરાટે કહ્યું, તું તો મારી કાર્બન કોપી લાગે 5. ભલભલા શહેરને આંજી દેતું ગુજરાતનું ગામડું:FDથી બેંક છલોછલ, શેરીએ શેરીએ ભવ્ય બંગલા, દરેક ઘરમાં NRI પરિવાર, આજે જ કેમ ઊજવાય છે ધર્મજ ડે? 6. ગઝનવીએ સોમેશ્વર શિવલિંગના ટુકડા મસ્જિદમાં લગાવ્યા:6 ટન સોનું લૂંટ્યું; નહેરુ સોમનાથ મંદિર બનાવવાના આટલા વિરુદ્ધમાં કેમ હતા 7. દલિતો સાથે રાત્રિભોજન, હિન્દુઓ વિરુદ્ધ હિંસા પર ફોકસ:બંગાળમાં RSSનો 5 પોઈન્ટર પ્લાન, દરેક હિન્દુના ઘર સુધી હિન્દુત્વ પહોંચાડે BJP કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: વૃષભ જાતકોને અટકેલા કાર્યોમાં ગતિ આવશે, કન્યા જાતકોને વેપારમાં ભાગ્યનો સાથ મળશે, મકર જાતકોને બેદરકારીના લીધે નુકસાન થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
દાગીનાની ચોરીનો મામલો આવ્યો સામે:એસટી ડેપો પરથી પૂણેની મહિલાના સોનાના 15 તોલાના દાગીનાની ચોરી
પૂણેથી નણંદના લગ્નમાં વડોદરા આવેલી મહિલાના સોનાના સાડા પંદર તોલા દાગીના સેન્ટ્રલ ડેપોના પ્લેટફોર્મ 10 પરથી ચોરાઈ ગયા હતા. ગઠિયાઓએ ભીડનો લાભ લઈ બસમાં ચડતી મહિલાના પર્સમાંથી દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સોનાના સાડા પંદર તોલાના દાગીનાની પોલીસે માત્ર 70 હજાર જ કિંમત ગણી હતી. પૂણે વેંકટેશ ક્ષિતિજ ખાતે રહેતાં જાગૃતિબેન નિલેશભાઈ પટેલના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ પતિ અને દીકરી સાથે 25 ડિસેમ્બરે નણંદના લગ્નમાં વડોદરા આવ્યાં હતાં. લગ્ન 27મીએ હતાં, જેથી તે પ્રસંગ પૂર્ણ કરી જાગૃતિબેન પિયર ખંભાત જવા માગતાં હતાં. તેઓ 28મીએ વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પહોંચ્યાં હતાં. બપોરે 12 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ 10 પર પહોંચ્યાં હતાં. બસમાં બેસી ગયા બાદ તેમને જણાયું હતું કે, પર્સમાં મૂકેલું નાનું પાકિટ ગાયબ છે. પાકિટમાં રૂા.70 હજારના સોનાના સાડા પંદર તોલાના દાગીના હતા. સયાજીગંજ પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પ્લેટફોર્મ પર 50થી વધુ લોકોની ભીડ હતી, પર્સની બે ચેન ખોલી ગઠિયાએ દાગીના મૂકેલું પાકિટ ચોર્યુંહું મારી દીકરી સાથે પ્લેટફોર્મ પર હતી. ખંભાતના પ્લેટફોર્મ પર 50થી વધુ લોકો બસમાં ચડવા જતા હતા. મારા પર્સમાં સાડા પંદર તોલાના દાગીના મૂકેલા હતા. પર્સની મુખ્ય ચેન ખોલી કોઈ ગઠિયાએ દાગીના મૂકેલું પાકિટ ચોરી કરી લીધું હતું. હું બસમાં બેસી ગઈ, ત્યારે મારું પર્સ ખુલ્લું હતું અને પછી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઘણીવાર ચોરી થાય છે, તેમ મને જાણવા મળ્યું હતું. - (જાગૃતિબેન પટેલ સાથે થયેલી વાતચીત મુજબ)
સેવાકાર્ય:ભંભાણી પરિવારે 10 મનોદિવ્યાંગ બાળકની આજીવન જવાબદારી લીધી
વારસિયામાં રહેતા ભંભાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશનમાં એડમિશન મેળવવા માટે રાહ જોઈ રહેલા 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી ઉપાડી હતી. વર્ષ 2010થી આસ્થા ફાઉન્ડેશન 20 શિક્ષકો દ્વારા 110 મનોદિવ્યાંગ બાળકોની સંભાળ લઈ રહ્યું છે. ભંભાણી પરિવારે સિરામિકના વ્યાપાર સાથે સંકળાયેલા છે. દીકરા થકી આસ્થા ફાઉન્ડેશન વિશે જાણ થતાં અશોક ભંભાણી સંસ્થાની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ અશોકભાઈએ ઘરમાં વાત કરતા તેમના પિતા હરગુન ભંભાણી અને તેમના પત્ની સપના ભંભાણીએ સંસ્થાના 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું હતું. બાળકો પહેલીવાર પેન ઉપાડશેસંસ્થાના અગ્રણી મદનભાઈએ જણાવ્યું હતું કે, આ 10 બાળકો અંત્યત ગરીબ પરિવારોમાંથી આવે છે. તેઓની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ કોઈ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે. ભંભાણી પરિવાર દ્વારા બાળકોની જવાબદારી ઉપાડતા આ બાળકો પહેલી વાર પેન ઉપાડશે અને અન્ય પ્રવૃતિઓ શીખશે.
અન્નકૂટનું આયોજન:ગિરિકંદરા મહોત્સવમાં વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ 600 ઠાકોરજી પધાર્યાં
વાઘોડિયા રોડના જય અંબે ગ્રાઉન્ડ પર ચાલી રહેલા ગિરિ કંદરા મહોત્સવના દ્વિતિય દિવસે 11 જાન્યુઆરીએ વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ ઠાકોરજીનો ભવ્ય અન્નકૂટ મહા મહોત્સવ યોજાયો હતો. જેમાં વૈષ્ણવોના 600 જેટલા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી પધાર્યાં હતાં. જ્યારે ગિરિરાજજીની અલગ અલગ કંદરામાં બિરાજી ભવ્ય અન્નકૂટ આરોગ્યો હતો. આ મહોત્સવ પ્રસંગે વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશનના સંસ્થાપક અને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમને ઠાકોરજીને અન્નકૂટ ભોગ ધરાવી આરતી કરી હતી. 4 હજાર વૈષ્ણવોએ આ અન્નકૂટ મહોત્સવનો લાભ લીધો હતો. પીઠીકા વિતરણ તેમજ રાસ ગરબા પણન યોજાયા હતા. જેમાં લગભગ 1 હજારથી વધારે પીઠીકા વિતરણનું આયોજન કરાયું હતું. જ્યારે બીજી 4 હજાર પીઠીકા આગામી દિવસોમાં વૈષ્ણવને ઉપલબ્ધ થાય તેમ વ્યવસ્થા કરાશે.
અયોધ્યાના હનુમાનગઢીના મહંત 2 દિવસ માટે વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમના યજમાન સ્થાને સુંદરકાંડ પાઠનું આયોજન નૂતન ભારત ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. મહંત બલરામ દાસજીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ભક્તિ યુવાઅવસ્થામાં છે. હાલમાં ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે તેમાં દેશ ‘સોને કી ચીડિયા’ બનવા જઈ રહ્યું છે. આજનો યુવા ધર્મ પ્રત્યે જાગૃત છે. આજે અયોધ્યા વિશ્વપટલ પર ચમકી રહ્યું છે. દેશનો દરેક વ્યક્તિ અયોધ્યા મંદિરના દર્શન કરવા આવવા માગી રહ્યો છે. જો કોઈ એ અયોધ્યના રામ મંદિરના દર્શન કરવા કરવા હોય તો સૌથી પહેલા તેઓએ હનુમાનગઢી દર્શન કરવા આવવું પડે છે. બાદમાં અયોધ્યા રામ મંદિરમાં દર્શને જાય છે. સુંદરકાંડ પાઠના આયોજક શમ્મીસિંહે જણાવ્યું હતું કે, મહંત સુરત જઈ રહ્યા હતા જેથી મારી વિનંતીથી વડોદરા 2 દિવસ તેઓએ રોકાણ કર્યું છે. હું જ્યારે અયોધ્યા ગયો હતો ત્યારે મારી પહેલીવાર મુલાકાત થઈ હતી. જે બાદ મારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવ્યા છે. મહંત અયોધ્યામાં દર વર્ષે 101 યુગલોના લગ્ન કરાવે છે, સાથે કથા અને રામલીલા પણ યોજાય છેહનુમાનગઢીના મહંત દર વર્ષે અયોધ્યામાં દર વર્ષે 101 યુગલોના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે. આ સાથે તેઓ કથા અને રામલીલાનું પણ આયોજન કરે છે. તેઓ ગુજરાત બીજી વાર આવ્યા હતા. જોકે વડોદરા તેઓ પહેલી વાર આવ્યા હતા. મંગળવારે પણ તેઓ વડોદરા રાકાશે અને બુધવારે સવારે તેઓ સુરત જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, હનુમાન ગઢીનું પૌરાણિક મહત્વ પણ છે. રામ-રાવણ યુદ્ધ બાદ ભગવાન રામે જે સ્થાન હનુમાનજીને રહેવા માટે જે સ્થાન અયોધ્યામાં રહેવા માટે આપ્યું હતું તે સ્થાનને હનુમાનગઢી તરીકે ઓળખાય છે.
મ.સ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના યુવાને મારામારી કરી હોવાની ઘટના બહાર આવી છે. કેન્ટીન પાસે વિદ્યાર્થિનીને જોવા બાબતે ટકોર કરતાં યુવાને પટ્ટા વડે વિદ્યાર્થીને માર્યો હતો. યુનિ.ની સિક્યુરિટી સદંતર નિષ્ફળ ગઈ છે, જ્યારે એસી કેબિનમાં બેસતા અધિકારીઓની વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીન ગુંડા ગર્દીનું એપી સેન્ટર બની છે. યુનિવર્સિટીની બહારનાં તત્ત્વો કેમ્પસમાં બેરોકટોક પ્રવેશે છે અને મન ફાવે ત્યાં બેસી વિદ્યાર્થિનીઓની છેડતી કરી રહ્યા છે. જોકે યુનિવર્સિટીના સત્તાધીશોને કોઇ લેવા-દેવા ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સોમવારે આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના યુવાને એક વિદ્યાર્થીને પટ્ટા વડે મારીને ગાળાગાળી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વિદ્યાર્થી તેના મિત્ર સાથે કેન્ટીનમાં બેઠો હતો ત્યારે બહારના યુવાને કોઇ કોમેન્ટ કરી હતી. જેથી વિદ્યાર્થીએ ટોકતાં ઉશ્કેરાયેલા તે શખ્સે પટ્ટો કાઢી તેને માર્યો હતો. ઘટના સમયે એક પણ સિક્યુરિટી જવાન હાજર નહતો. આર્ટ્સ ડીને સિક્યુરિટી વધારવા 3 પત્ર લખ્યા છતાં પગલાં ન લેવાયાંઆર્ટ્સના ડીને ફેકલ્ટીમાં સિક્યુરિટી વધારવા 3 પત્રો યુનિવર્સિટી સત્તાધીશોને લખ્યા છે. જ્યારે તેમણે રૂબરૂમાં વીસી, રજિસ્ટ્રારને રજૂઆતો કરી હતી છતાં હજુ કોઇ કાર્યવાહી કરાઈ નથી, જેને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે છે. અગાઉ આર્ટ્સ ફેકલ્ટીમાં થયેલી મારામારીની ઘટના બાદ ફેકલ્ટીના જ અધ્યાપકો દ્વારા આઇકાર્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવા આવેલા વાઇસ ચાન્સેલર વાસ્તવિક સ્થિતિથી અજાણનવા આવેલા વાઇસ ચાન્સેલરને યુનિવર્સિટીમાં શું થઇ રહ્યું છે તે વિશેની જાણકારી હેડ ઓફિસની એસી કેબિનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ બ્રિફિંગ કરી રહ્યા છે, જેને કારણે વીસી પણ યુનિવર્સિટીની જમીની હકીકતોથી વિશે જાણકારી મળી રહી નથી. સિક્યુરિટી જેવા મહત્ત્વના મુદ્દા પર કોઇ કાર્યવાહી થઇ રહી નથી.
સિંધી ભાષા લુપ્ત થતી રોકવા ઝુંબેશ:590 વિદ્યાર્થીઓએ સિંધી ભાષાની પરીક્ષા આપી
સિંધી ભાષા લુપ્ત થતી બચાવવાના અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા યોજાઈ હતી, જેમાં વડોદરાના 590 વિદ્યાર્થીઓએ સિંધીની પરીક્ષા આપી હતી. સિંધી ભાષા શીખવાના 100 કલાકના વર્ગો લેવાય છે, જ્યારે સર્ટિફિકેટ, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમાના કોર્સ ચલાવાય છે. સિંધી ભારતની ઓફિશિયલ ભાષા હોવા છતાં લુપ્ત થઇ રહી છે. જેને પગલે સરકાર સિંધી ભાષાને બચાવવા અભિયાન કરી રહી છે. રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે સિંધી ભાષા માટે પરીક્ષા યોજાય છે. હરિ સેવા સ્કૂલ- વારસિયામાં 590 વિદ્યાર્થીઓએ સિંધી ભાષાની પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી 40 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપી હતી. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બરમાં 100 કલાકનો કોર્સનો અભ્યાસ કરાવ્યા બાદ જાન્યુઆરીમાં પરીક્ષા લેવાય છે. ઉત્તીર્ણ વિદ્યાર્થીને પ્રમાણપત્ર અપાય છે. સિંધી ભાષા શીખવનાર શિક્ષકને 100 કલાક ભણાવવાના કલાકના રૂા.250 લેખે 25 હજાર વેતન અપાય છે. 1960-70ના દાયકામાં વડોદરામાં શિક્ષણ સમિતિની 16 સિંધી માધ્યમની અને 3 મોટી સ્કૂલો હતી. જોકે આ શાળાઓ ક્રમશ: બંધ થઇ ગઇ છે. ભાસ્કરો નોલેજસિંધી ભાષામાં પુસ્તકો લખાય તે દિશામાં પણ પ્રયાસકેન્દ્ર સરકાર દ્વારા સિંધી ભાષાનો પ્રચાર થાય અને તે લુપ્ત થતી બચે તે માટે નિ:શુલ્ક પુસ્તકો આપવામાં આવે છે. રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા સિંધી ભાષા નવી પેઢી શીખે અને તેમાં પુસ્તકો પણ લખાય તે દિશામાં પ્રયાસ કરી રહી છે. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પણ સિંધી ભાષામાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
પોલીસ એક્શન મોડમાં:ઉત્તરાયણ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સમયસર હરાજી પૂર્ણ કરવાની સૂચના
ઉત્તરાયણને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. સાથે પોલીસે વહેલાં બજાર શરૂ કરી રાત્રે વહેલાં બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી. દરમિયાન ટ્રાફિક ન થાય તેનું પોલીસ ધ્યાન રાખશે. સિટી, વાડી, પાણીગેટ, કુંભારવાડા, સયાજીગંજ, ગોરવા સહિતના વિસ્તારમાં પોલીસે સોમવારે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસ દ્વારા મુખ્ય રોડની આજુબાજુ પતંગ-દોરાનું વેચાણ કરતા વેપારીઓને તેમના પથારા તથા દુકાનોનો સામાન, વાહનોથી ટ્રાફિક ન સર્જાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. સાથે પતંગ બજારની હરાજી સમયસર પૂર્ણ કરવા તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ અને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવા કહ્યું હતું. ચાર દરવાજામાં 300થી વધુ પથારા, દુકાન, તમામ સ્થળો પર સમયાંતરે ચેકિંગ કરાશેચાર દરવાજા વિસ્તારમાં 300થી વધુ પથારા, દુકાન સહિત લારી-ગલ્લા પતંગ બજારમાં અને હરાજી વખતે હાજર રહેશે. સવારે 10 વાગ્યાથી બજાર ભરાશે અને મોડી રાત સુધી ચાલશે. પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુ વેચાય નહીં તે માટે સમયાંતરે ચેકિંગ કરાશે. કોઈ પ્રતિબંધિત વસ્તુ સાથે પકડાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ભારદારી વાહનોથી થતા અકસ્માતો રોકવા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી હતી. જેમાં વીટકોસ, કચરો ઉઘરાવતાં વાહનો અને પાલિકાનાં ભારે વાહનોથી અકસ્માતો ન થાય તે અંગે ચર્ચા કરી સૂચન આપ્યાં હતાં. જેમાં પાલિકાનાં ભારે વાહન શહેરમાં નિશ્ચિત કરેલા સમયમાં પ્રવેશે. ઉપરાંત પાલિકાનાં ભારે વાહનો અને વીટકોસ બસને નો ઓવરટેક, નો હોર્ન અને નિશ્ચિત લેનમાં વાહન હંકારવા સ્પષ્ટ સૂચના આપી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કોન્ટ્રાક્ટરોને સૂચના આપી કે, આરટીઓના નિયમ ફરજિયાત પાળવાના રહેશે. ઉપરાંત વાહનો પર કોન્ટ્રાક્ટની વિગત, એજન્સીનું નામ અને ઈમર્જન્સી નંબર ધરાવતું બોર્ડ લગાવવું પડશે. પોલીસ કમિશનરનાં સૂચન : વાહન પર કોન્ટ્રાક્ટની વિગત, ઈમર્જન્સી નંબરનું બોર્ડ લગાવવું પડશે 1. ભારે વાહનો નિશ્ચિત કરેલા સમયગાળા દરમિયાન જ શહેરના વિસ્તારમાં પ્રવેશ કરે 2. શહેરી વિસ્તારમાં વાહનની ગતિ ઓછી રાખે, નો ઓવરટેક, નો હોર્ન તેમજ નિશ્ચિત લેનમાં જ વાહન હંકારવાનું રહેશે 3. ડ્રાઈવરની સાથે ફરજિયાતપણે એક હેલ્પરની નિયુક્તિ કરવાની રહેશે 4. વાહનોએ સેફ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. વીટકોસ સિટી બસ નિર્ધારીત સમયે નીકળી બસ સ્ટેન્ડ પર ઊભી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે 5. બસ સ્ટેન્ડ પાસેનાં દબાણ હટાવાનાં રહેશે, વાહનોનું ફિટનેસ ચેક કરવવાનું રહેશે આરટીઓના નિયમોનું પણ ફરજિયાત પાલન કરવું પડશેબેઠકમાં બ્રિજ, રોડ સહિતના કામ માટે હેવી મશીનરી સાથે કામ કરતા કોન્ટ્રાક્ટર-ડ્રાઈવરો અને વીટકોસના કર્મી જોડાયા હતા. આરટીઓના નિયમોનું પાલન કરવા સમજ આપી હતી. > ધર્મેશ રાણા, હેડ, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ
સસ્તા પતંગ લેવા પહોંચી જજો:માંડવી સહિત 5 બજારમાં આજે હરાજી મોડી રાત સુધી પતંગોના સોદા કરાશે
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લાં 100 વર્ષ કરતાં વધુ સમય જૂના પતંગ બજારમાં 13મી જાન્યુઆરીના રોજ મોડી રાતે હરાજી કરવામાં આવશે. જેમાં સસ્તા ભાવે પતંગની ખરીદી કરવા માટે શહેરીજનો ઊમટી પડશે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષમાં શહેરના માંડવી ઉપરાંત ચકલી સર્કલ, સંગમ સહિત કુલ 5 સ્થળો પર નવાં પતંગ બજારો અસ્તિત્વમાં આવ્યાં છે. જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો પતંગ અને ફિરકી ખરીદવા માટે પહોંચી રહ્યાં છે. ઉત્તરાયણને આડે હવે એક દિવસ રહ્યો છે ત્યારે તમામ મોટાં બજારોમાં રાતે 12 વાગ્યા સુધી ખરીદી થઈ રહી છે. પતંગની ખરીદી કરવા માટે શહેર ઉપરાંત તાલુકાનાં વિવિવધ ગામોમાંથી પણ લોકો વડોદરા આવતા હોય છે, જેને કારણે ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ખરીદી જામી છે. મંગળવારના રોજ હરાજીની રાતે ગેંડીગેટ રોડ પર પતંગોની ખરીદી માટે માનવ મહેરામણ ઊમટી પડશે. જેને કારણે પોલીસ દ્વારા પણ માંડવીથી ગેંડીગેટ રોડ પર બેરિકેડિંગ કરી નો-એન્ટ્રી કરી દેવામાં આવશે. આ હરાજીમાં હજારોની સંખ્યામાં શહેરીજનો પતંગ ખરીદવા માટે આવતાં ચાર દરવાજા વિસ્તારમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. ત્યારે 100 વર્ષથી જૂના પતંગ બજારની હરાજી હજુ પણ જીવંત રહેલી છે. શહેરનાં આ 5 મોટાં પતંગ બજારો, જ્યાં મોડી રાત સુધી પતંગોનું વેચાણ થાય છે માંડવી સહિતના વિસ્તારમાં 3 દિવસ વાહનો માટે પ્રવેશબંધીમાંડવી, રાવપુર અને જૂના પાદરા રોડ પર મોટી સંખ્યામાં લોકો 13, 14 અને 15 જાન્યુઆરીએ પતંગ ખરીદી માટે પહોંચે છે. આ દરમિયાન ટ્રાફિક સુચારૂ રીતે ચાલે અને લોકોને અગવડ ન પડે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. 3 દિવસ દરમિયાન સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આજથી વાસી ઉત્તરાયણ સુધી જાહેરનામું અમલમાં રહેશે. માંડવી ચાર દરવાજા વિસ્તાર (તમામ વાહનો માટે) રાવપુરા રોડ, અડાણિયાપુલ ચાર રસ્તાથી માંડવી (ફોર વ્હીલર, વીટકોસ બસ માટે) જૂના પાદરા રોડ (ફોર વ્હીલર- ભારદારી વાહન માટે)
નિઝામપુરામાં 20 વર્ષ બાદ રોડ પર ડ્રેનેજનાં પાણી રેલાતાં લોકોમાં નારાજગી પ્રવર્તી હતી. ડીલક્ષ ચાર રસ્તા રોડ પર વીજ કંપનીએ ડ્રિલિંગ વખતે ડ્રેનેજ લાઇનને નુકસાન પહોંચાડતાં ગંદા પાણી 5 દિવસથી રોડ પર રેલાઈ રહ્યાં છે. જેને વરસાદી કાંસ મારફતે ભૂખી કાંસમાં ઠલવાય છે. સ્થાનિકો અને કાઉન્સિલરોનો દાવો છે કે, ડ્રેનેજ જ નહીં પાણીની લાઇનમાં પણ ભંગાણ થયું છે. જ્યારે અધિકારીઓને હજુ ફોલ્ટ મળતો નથી. નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસે 5 દિવસ પૂર્વે વીજ કંપનીએ ડ્રિલિંગ વખતે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જ્યું હતું. જેને કારણે 5 દિવસથી ગંદા પાણી ફેલાતાં લોકોમાં નારાજગી ફેલાઈ હતી. આ અંગે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અને કોંગ્રેસના સ્થાનિક નેતા જિતેન્દ્ર સોલંકીએ તંત્રનું ધ્યાન દોર્યું હતું. ડ્રેનેજની લાઇનમાં ભંગાણ થતાં પાલિકાએ પંપ મૂકી 2 સ્થળેથી વરસાદી ગટરમાં પાણી નાખી રહી છે, જે 5 દિવસથી ભૂખી કાંસમાં ઠલવાઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય બન્યો છે. લોકોનું કહેવું છે કે, 20 વર્ષથી આ રોડ સલામત હતો, જેને પણ તોડી નાખ્યો છે અને ગટરના પાણીથી લોકોને પરેશાની થઈ રહી છે. ગોયાગેટ સોસાયટીમાં 2 માસથી ગંદું પાણી આવતાં રહીશો ત્રસ્તઆરવી દેસાઈ રોડ પર ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી ગંદું પાણી આવતું હોવાની ફરિયાદને પગલે 1500થી વધુ લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ પાણીની લાઈન બદલી આપવા માગ કરી છે. ચોખ્ખા પાણી માટે રહીશોએ નાણાં ખર્ચવાં પડતાં હોવાની ફરિયાદ કરી છે. નવાપુરા, આરવી દેસાઈ રોડ અને જયરત્ન ચાર રસ્તા સહિતના વિસ્તારમાં ઘણા સમયથી પાણી ગંદું અને ઓછા પ્રેશરથી આવતું હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. આરવી દેસાઈ રોડ પર ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી પાણી ગંદુ આવતું હોવાથી રહીશોમાં નારાજગી ફેલાઈ છે. ગંદા પાણીથી લોકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સતાવી રહી છે. સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેએ સ્થળે પહોંચી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ રહીશોએ પણ વહેલી તકે પાણીની લાઈન બદલી આપવા માગ કરી છે. રહીશોએ ફરિયાદ છે કે પાલિકામાં વેરો ભરવા છતાં ચોખ્ખા પાણી માટે નાણાં ખર્ચવાં પડી રહ્યાં છે. ઈનસાઇડકામગીરી વખતે નિરીક્ષણ કરવાની અધિકારીઓની જવાબદારી છતાં મજૂરોના ભરોસે રહેતાં લાઇન તૂટીકોઇ પણ વિસ્તારમાં ઓએફસી કેબલ અને કેબલ નાખવાની કામગીરી માટે વોર્ડ ઓફિસ દ્વારા પરવાનગી અપાય છે. પરવાનગી આપતી વેળાએ કયા વિસ્તારમાં, ક્યાંથી પાણી-ડ્રેનેજ - ગેસની લાઈન કેટલા મીટરની ઊંડાઈએ જઈ રહી છે તેની માહિતી આપવાની હોય છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરે ખોદકામ કરતી વખતે અધિકારીનું ધ્યાન દોરવાનું હોય છે. જોકે અધિકારી અને કામ કરતી એજન્સીના સંકલનના અભાવે આવી ઘટના બને છે. બીજી તરફ એજન્સી કામગીરી મજૂરોને સોંપી દેતી હોવાથી લાઈનોને નુકસાન થાય છે. ડ્રેનેજમાં માટી ગઈ છે, મશીનથી સફાઇ કરાશેડ્રિલિંગ કરતી વેળાએ ડ્રેનેજની લાઈનના ચેમ્બરમાં માટી ગઈ છે. સાંજે મશીનની મદદથી સફાઇ કરવામાં આવશે. સમારકામની કામગીરીનો જે ખર્ચ થશે તે વીજ કંપની પાસે વસૂલવામાં આવશે. > પ્રશાંત જોષી, કાર્યપાલક ઇજનેર, ઉત્તર ઝોન વીજ કંપનીને હેવી પેનલ્ટી ફટકારોપાલિકાના અને વીજ કંપનીના અધિકારી વચ્ચે સંકલનનો અભાવ છે. ડ્રેનેજ જ નહીં, પાણીની લાઇનમાં પણ ભંગાણ છે. કામમાં બેદરકારી દાખવનાર વીજ કંપનીના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી હેવી પેનલ્ટી ફટકારવી જોઈએ. > પુષ્પાબેન વાઘેલા, કાઉન્સિલર, વોર્ડ 1 30 વર્ષ જૂની લાઇનથી દૂષિત પાણીની સમસ્યા: નવાપુરા સહિત ગોયાગેટ તરફ વિસ્તારમાં 30 વર્ષ જૂની ડ્રેનેજ-પાણીની લાઈનોમાં વારંવાર ભંગાણ થાય છે. અગાઉ નવાપુરામાં ગંદા પાણીથી રોગચાળો ફેલાતાં અનેકનાં મોત થયાં હતા. તેવામાં ઇન્દોર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે લોકો સાથે કાઉન્સિલરો તંત્રનું ધ્યાન દોરે છે. ઘણા સમયથી પાણીની લાઈનમાં ભંગાણ હોવા છતાં ફોલ્ટ મળતો ન હતો. જેથી નવી લાઇન નાખવાનું શરૂ કર્યું છે.
રાજકોટ ખાતે ચાલી રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રીજીયનના બીજા દિવસે આજે વિવિધ જિલ્લામાંથી આવેલા ઉદ્યોગકારોએ અલગ અલગ ક્ષેત્રમાં કામગીરી માટે એમઓયુ કર્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં રૂ1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સિરામિક ઉદ્યોગની તાકાત અને ઉચ્ચ ગુણવત્તા છે ત્યારે સિરામિક ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબી ખાતે ધમધમતા સિરામીકના 800 પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચ કક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. આ સેમિનારમાં રાજ્ય સરકાર અને સિરામિક ઉદ્યોગો વચ્ચે 1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જયરામ ગામીત, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને સિરામિક ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેવાકાર્ય:અભાવો વચ્ચે જીવતા સામાન્ય વર્ગના જીવનમાંતહેવારોની ખુશી ભરવા ચંપલનું વિતરણ કરાયું
મોરબીમાં પરહિતકર્મ ગ્રુપના ઉપક્રમે સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે અનેક અભાવોથી જીવનની અસલી ખુશીઓથી વંચિત રહેતા સામાન્ય વર્ગ પણ સ્વમાનભેર જીવન જીવી તેમના જીવનને ખુશીઓથી ભરી દેવા સેવાયજ્ઞ ચલાવવા આવી રહ્યો છે અને આવા સામાન્ય વર્ગના લોકો માટે અલગ અલગ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરમિયાન હાલમાં ગાત્રો થીજાવતી ટાઢમાં ગરમ વસ્ત્રોમાં કેદ હોવાથી છતાં જનજીવન ઠુઠવાઈ ગયું હોય એવી કપરી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય વર્ગના બાળકો આવી ઠંડીમાં ઉઘાડા પગે રખડતા ભટકતા હોય તેમને ઠંડીમા કાંટા કાંકરા લાગતા હોવાનું ધ્યાને આવતા આ સંસ્થાના કાર્યકરોનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને આ સંસ્થાએ આવા ઉઘાડા પગે રખડતા ભટકતા બાળકોને નવા સારા ચંપલ પહેરાવી ઠંડીમાં તેમના પગનું રક્ષણ કર્યું છે. મોરબીમાં પરહિતકર્મ ગ્રુપે સામાન્ય વર્ગના જીવનને અર્થસભર બનાવવા માનવતાવાદી અભિગમ દાખવી તેમના જીવનમાં રહેલા અભાવો દૂર કરવા માટે રીતસર સેવાનો ભેખ ધારણ કરી અલગ અલગ સેવા પ્રવૃત્તિઓ કરે છે. હાલમાં ઠંડીનો પ્રકોપ વધતા ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં મોટાભાગના લોકો ઠંડીથી થરથર કાપી રહ્યા છે. ત્યારે આર્થિક રીતે સાધારણ પરિસ્થિતિ ધરાવતા અને મજૂરી કામ કરતા અનેક પરિવારોના નાના ભૂલકાના પગમાં ચંપલ ન હોય અને આવી કડકડતી ટાઢમાં રખડતા ભટકતા હોય ત્યારે તેમને પગમાં કાંટા કે કાંકરા લાગતા ઠંડીને કારણે. પીડા વધુ થતી હોવાનું આ સંસ્થાના ધ્યાને આવતા આવા રખડતા ભટકતા બાળકોને ચંપલ આપવાનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું. જેમાં પરહિતકર્મ ગ્રુપના સભ્યોએ મોરબી નજીક હાઈવે પરની અલગ-અલગ વસાહતો અને વિસ્તારોમાં જઈને 111થી વધુ નાના બાળકોને નવા ચંપલો આપીને ઠંડીમાં પગને રક્ષણ આપ્યું હતું. ખુલ્લા પગે ફરતા આ માસૂમ બાળકોના ચહેરા પર નવા ચંપલ પહેરતા જ અનેરી ખુશી જોવા મળી હતી. માત્ર ચંપલ જ નહીં પરંતુ આ ગ્રુપ દ્વારા છેલ્લા ૯ દિવસથી ગરીબ બાળકો અને જરૂરિયાતમંદોને ગરમાગરમ શીરો ખવડાવવાનું સેવાયજ્ઞ પણ ચલાવવામાં આવી રહ્યો છે. કડકડતી ઠંડીમાં ઉઘાડા પગે રખડતા ભટકતા 111થી વધુ નાના બાળકને નવા ચંપલો પહેરાવી માનવતાની મહેક પ્રસરાવી. તસવીર- રવિ બરાસરા
ચોરોનો આતંક:મોરબીમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ચોર ફરાર
મોરબીના કેનાલ રોડ પર નિર્મલ સ્કૂલ નજીક આવેલ ક્રિસ્ટલ હાઇટ્સ B-201માં રહેતા વેપારી યુવાન પ્રશાંતભાઈ સુરેશભાઈ બોપલીયાની GJ-36-AP-3399 નંબરની કાર સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરી હતી, ત્યારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સ કારના કાચ તોડી ફરાર થઇ ગયા હતા. જો કે કારમાંથી કોઈ કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો. જો કે બીજા દિવસે સવારે કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તેમજ પાછળનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. બાદમાં નિર્મલ સ્કૂલ ખાતે લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં કેટલાક અજાણ્યા ઇસમો ગાડીમાં નુકસાન કરતા નજરે પડ્યા હતા. આ બનાવને લઈ પ્રશાંતભાઈએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ યોગ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે કારને નુકશાન કર્યાની આશંકા સેવાઈ રહી છે.
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડાનગરમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પરંતુ તાજેતરમાં તો પીજીવીસીએલ તંત્રએ બેદરકારી દાખવવામાં હદ કરી નાખી હતી. ચામુંડાનગરમાં એક જ દિવસમાં ચાર પાંચ વખત વીજળી ગૂલ થઈ જતા સ્થાનિકો અકળાઈ ઉઠ્યા હતા. આટલું ઓછું હોય એમ આ વીજ ફોલ્ટને દૂર કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાને બદલે વીજ ફોલ્ટ કંટ્રોલ રૂમના કર્મચારીએ બિનજરૂરી વિગતો માંગી નિરર્થક ચર્ચા કરી, કેટલી કલાકથી લાઈટ ગઈ ? એક બે કલાકમાં પાવર ન આપે તો જ ફરિયાદ લખાવવી કહીને બે જવાબદારીભર્યા જવાબો આપતા લોકોમાં વિજ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ચામુંડાનગરમાં રહેતા જાગૃત નાગરિક વિક્રમ ભંખોડીયાએ તેમના આખા વિસ્તારમાં લાઈટ ગયા બાદ નજીકના વીજ ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ કરવા કોલ કરતા સામે છેડે કર્મચારીએ લાઈટ ગયાને કેટલી કલાકો થઈ તેવું પૂછતાં વિક્રમભાઈએ 15 મિનિટ લાઈટ ગયાનું કહેતા જાણે કમાન છટકી હોય એમ એ કર્મચારીએ અમારે કલાક દોઢ કલાકનો વિજકાપ હોય એટલે કલાક બે કલાક સુધી લાઈટ ન આવે તો જ ફરિયાદ કરવી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી વિક્રમભાઈએ મોટાભાગે વીજતંત્ર જે તે વિસ્તારમાં એક દિવસ વીજકાપ રહેવાનું નોટિફિકેશન જાહેર કરતું હોવાથી એક બે કલાકનો વિજકાપ ન હોય છતાં આજે પાવર કાપનું નોટિફિકેશન જાહેર કર્યું છે કે કેમ તે પૂછ્યું ત્યારે કર્મચારીએ પણ એવો જવાબ આપ્યો હતો કે તેની મને ખબર નથી! અને હોદ્દો તેમજ નામ પૂછતા તેણે વીજ કસ્ટમર કેરના કર્મચારી ફક્ત મિલનભાઈ એવી ઓળખ આપી હતી.પણ આખું નામ આપ્યું ન હતું. નિરર્થક વિગતો પૂછી પૂછીને ગ્રાહકની પરેશાની વધારી દીધી હતી. ત્યારે એ મુદો ચર્ચામાં રહ્યો છે કે લાઇટ બીલ ન ભરવામાં આવે તો મોટા ઉપાડે વાજતે ગાજતે ટીમ આવીને જોડાણ કાપી જાય, ચોરી કરતા લોકો સામે કાર્યવાહી થાય એ તો સ્વાભાવિક જ છે. પરંતુ જેઓ સમયસર બિલ ભરી દે છે તેવા ગ્રાહકોને નાહક પરેશાન કરવામાં આવે તે તો ક્યાંનો ન્યાય?! બીજી તરફ આ અંગે વીજ અધિકારીનો સંપર્ક કરવામાં આવતાં તેમનો ફોન રીસીવ થયો ન હતો. ફોન રિસીવ જ ન થતાં હોવાની લોકોની વધતી ફરિયાદોવીજ ધાંધિયાનો પ્રશ્ન એક વિસ્તાર પૂરતો સીમિત નથી, કાગડા બધે જ કાળા એમ ઘણા વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે અને વીજળી ગુલ થયા બાદ કામચલાઉ કામગીરી કરાતી હોય અને વીજ ફોલ્ટનું કાયમી નિરાકરણ ન આવતા વીજ સમસ્યા ઠેરની ઠેર જ રહી છે અને મેઇન્ટેનન્સના નામે વારંવાર વીજકાપ લાદવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે, લાઈટ ગયા બાદ અલગ અલગ વીજ ડિવિઝનો હોવાથી નજીકના ફોલ્ટ સેન્ટરમાં ફોન કરીએ તો મોટાભાગે ફોન લાગતો જ નથી. એટલે અધિકારીને ફોન કરીએ તો એ વીજ ફોલ્ટ સેન્ટરમાં જાણ કરવાનું કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે.
લ્યો બોલો!:મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન પાડા પુલ પર આખલાના સ્ટેચ્યૂનો અમુક હિસ્સો ગાયબ!
મોરબીના રાજાશાહી વખતના ઐતિહાસિક વિરાસત અને સ્થાપત્ય કલાના બેજોડ નજરાણા સમાન મોરબી શહેર અને સામાકાંઠાને જોડતા મચ્છુ નદી પરના પાડાપુલ પર બન્ને તરફ મહાકાય આખલાના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે અને એક સ્ટેચ્યુને બારીકાઇથી જોવામાં આવે તો સ્પષ્ટ નજરે પડે કે આખલાના સ્ટેચ્યુનો અમુક હિસ્સો ગાયબ થઇ ગયો છે અથવા તો કરી દેવામાં આવ્યો છે. કોઈ ટીખળખોરોની આવી હરકત છે કે પછી અન્ય કોઈ કારણોસર આ પાડાનો હિસ્સો આ રીતે કાઢી લેવામાં આવ્યો છે ? તેનો જવાબ તો સંબધિત તંત્ર જ આપી શકે. પાડાની આ બે જોડ પર હંમેશા ધૂળની ચાદર જ છવાયેલી રહે છે. જેની ક્યારેય સાફ સફાઈ કરવામાં આવતી નથી, જ્યારે વરસાદ આવે એટલે ધોવાઇ જશે એમ માનીને તંત્ર ચાલતું હોય તેવું ફલિત થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 1879માં તત્કાલીન રાજવી સર વાઘજી ઠાકોરે આ પાડાપુલ બનાવ્યો હતો. જેની લંબાઈ 244 મીટર છે. આ પાડાપુલ ઉપર તે સમયે જ શ્રેષ્ઠ આર્કિટેક્ટ્સ દ્વારા બે ઘોડા અને બે આખલાના સ્ટેચ્યુ રાખવામાં આવ્યા છે. જે આજે પણ અડીખમ ઉભા છે. આ બે ઘોડામાં એકનું નામ રોયલ અને ડોલર છે. જ્યારે બે આખલા છે એને ત્યારે લોકો પાડા સમજી બેઠા હતા. એટલે જ એ પુલનું નામ પાડાપુલ પડ્યું હતું. ત્યારથી લોકો આ બે આખલાને પાડા માનીને જ પાડાપુલ તરીકે ઓળખે છે. પણ એ બે પાડા નથી. હકીકતમાં આખલા છે. સ્થિતિ ચકાસીને મરામત કરીશુંઆ બ્રિજના છેડા પર લગાવવામાં આવેલા આખલાને જો કે કોઇ નુકસાન નથી થયું. જે ડેમેજ થયું છે તે અમારા ધ્યાનમાં જ છે. બ્રિજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે તેની સ્થિતિની ચકાસણી કરીને બાદમાં આખલાના સ્ટેચ્યુની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. > હિતેશભાઇ આદ્રોજા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર
ઉત્તરાયણ પર્વને હવે 24 કલાક બાકી રહ્યા છે ત્યારે મોરબી શહેરની બજારમાં પતંગ અને માંજાની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, શહેરની મુખ્ય બજાર એવા પરા બજાર નહેરુ ગેટ ચોક, શનાળા રોડ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, વાવડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં જૂના હાઉસિંગ બોર્ડ ત્રાજપર ચોકડી વિસ્તારમાં સિઝન સ્ટોરમાં લોકો પતંગની ખરીદી કરવા નીકળી રહ્યા છે. જેના કારણે સમી સાંજથી મોડી રાત સુધી બજાર ધમધમી રહી છે. અગાઉ યુવાનો કાચથી પોતાની નજર સામે તૈયાર થતા માંજાની ખરીદી કરતા હતા. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં બજારમાં પતંગ દોરીની ફીરકી ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. ઇજા ન થાય તેવી ખાસ પ્રકારની દોરી માર્કેટમાંમોરબીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પતંગની ખરીદીનો માહોલ જામ્યો છે. હાલ બજારમાં કાગળ પ્લાસ્ટિક અને કાપડની પતંગ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાલ સોશ્યલ મીડિયામાં જે ટ્રેન્ડીગ છે તેવી ચાઇનીઝ પતંગ આવી છે નાના બાળકો માટે એવી દોરી ખાસ ઉપલબ્ધ છે જેનાથી બાળકોને હાથમાં ઈજા ન પહોચે હાલ ખરીદીનો માહોલ સારો છે જેના કારણે સિઝનમાં સારું વેચાણ થાય તેવી અમને આશા છે. > દીપક પોપટ, વેપારી બરેલી, રોકેટ ચીલપતંગની ડિમાન્ડ નીકળીમોરબીની બજારમાં હાલ એક ઇંચથી લઇ કાગળની ત્રણ ફૂટ સુધીની પતંગ ઉપલબ્ધ છે તો કાપડની પતંગ ઉડાડવાના શોખીન પતંગ રસિયા માટે કાપડની 10 ફૂટની ઉચાઇની અલગ- અલગ વેરાયટીની પતંગ જોવા મળી રહ્યું છે. લોકોને પસંદગીની વાત કરીએ તો યુવાનોમાં બરેલી,રોકેટ ચીલ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી, વેલકમ 2026,વિવિધ દેશના ઝંડા બોલીવૂડ સ્ટારના તસ્વીર ફોટો વાળી પતંગની ડીમાન્ડ નીકળી છે. મોરબીમાં છેલ્લા કેટલાક દિવસથી ધીમી ગતિએ ચાલતી ખરીદી ગત રવિવારથી અચાનક વધતા દુકાનદારોને આ સિઝનમાં સારો વકરો થવાની આશા બંધાઈ છે હજુ બે દિવસ ખરીદી માટે સમય હોવાથી લોકો આ દિવસે મોટા પાયે ખરીદી કરશે તેવી આશા સેવાઈ રહી છે.
મનપા એક્શન મોડમાં:મોરબી શહેરમાં લાંબા સમયથી વેરો ન ભરતા બાકીદારોની ચાર મિલકત સીલ
મોરબી મહા પાલિકાનું નાણાકીય વર્ષ માર્ચમાં પૂરું થવાનું હોય માર્ચ એન્ડિંગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપા કરવેરો ભરવામાં ઉદાસીન દાખવતા મિલકત ધારકોને ધડાધડ નોટિસો ફટકારીને કરવેરાની આકરી વસુલાત કરી રહ્યું છે અને નોટિસ ફટકારવા છતાં પણ મિલકત ધારકો દાદ ન આપતા અંતે મનપાએ બાકીદારો સામે આકરાપાણીએ થઈ તેમની મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કરવેરો ભરવામાં બેદરકારી દાખવતા 4 કૉમર્શિયલ મિલકત ધારકોની મિલકતોને સિલીંગ કરતા બાકીદારોમાં ફફડાટ મચી ગયો હતો અને 19ને વૉરંટ ઇશ્યુ કરતા તેમાંથી 15 મિલકત ધારકોએ સ્થળ પર જ વેરો ભરપાઇ કર્યો હતો. મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-26ના બાકી કરવેરા હોય એવા આસામીઓ પાસેથી કરવેરાની વસુલાત કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મિલકત વેરા શાખાના કર્મચારીઓ શહેરમાં વિવિધ સ્થળે મિલકતના કરવેરા ભરવામાં ભારે લાપરવાહી દાખવતા મિલકત ધારકોને 3 જાન્યુઆરીથી વૉરંટ બજવણી કરી રહ્યા છે. જેમાં વેરો બાકી હોય એવા કુલ 19 જેટલા મિલકત ધારકોને વૉરંટ ઇશ્યુ કરવામાં આવ્યા છે. તેમાંથી 15 મિલકત ધારકોએ મિલકત વેરા શાખાને બાકી વેરો સ્થળ પર જ ભરી દીધો છે. જ્યારે 4 આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ ન કરતા અંતે તેમની કૉમર્શિયલ મિલકતને સીલ કરવામાં આવી હતી. મિલકત વેરા શાખા દ્વારા મિલકત વેરો ભરપાઈ ન કરનાર આસામી ઓને વૉરંટ તથા સીલિંગની કામગીરી આગામી સમયમાં ચાલુ રહેશે.
કલેક્ટર કચેરીમાં કોંગ્રેસનું આવેદન:મનરેગા એ માત્ર યોજના નથી પરંતુ ગરીબોના અસ્તિત્વનો જંગ છે
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મનરેગા બચાવો-દેશ બચાવો અભિયાન હેઠળ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ભાજપ સરકારની ગરીબ વિરોધી નીતિઓ સામે રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસના પ્રદેશ ગીતાબેન પટેલે, જિલ્લા પ્રમુખ નૌશાદભાઇ સોલંકી સહિત આગેવાનોએ કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા 2005માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ ગ્રામીણ ભારતીયોને રોજગાર માંગવાના કાનૂની અધિકારની બાંહેધરી આપી હતી. જેમાં 100 દિવસની રોજગારી સુનિશ્ચિત તથા મહિલાઓને જમીન વિહોણાઓનું સશક્તિકરણ, અધિકાર પાત્ર હક્કો દ્વારા શ્રમની ગરીમાને સમર્થિત કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારે લાવેલ VB-G RAM G Act, 2015ના નવા ફેરફારો રોજગારના અધિકાર પર તરાપ છે. જો મનરેગાને તેના મૂળ સ્વરૂપે પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો જિલ્લાના હજારો શ્રમિકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. યોજના નબળી પડશે તો ગ્રામીણ ક્ષેત્રે સ્થળાંતર વધશેજિલ્લાના પછાત અને અંતરિયાળ ગામડાઓના લોકો માટે મનવા એ આજીવિકાનું મુખ્ય સાધન છે. જો આ યોજના નબળી પડશે તો ગ્રામીણ ક્ષેત્રે સ્થળાંતર વધશે. > ગીતાબેન પટેલ, કોંગ્રેસના પ્રદેશ નેતા મુખ્ય માંગણીઓ નવા ફેરફારોમાં આ ગેરંટી શબ્દને જ ગાયબ છે. જ્યાં મોબાઈલ નેટવર્ક પહોંચતું નથી ત્યાં ડિજિટલ હાજરી કરી ગરીબોના વેતન કાપવાનું ષડયંત્ર છે.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે નેશનલ ઓલિમ્પિક એકેડમીને પુનઃ સક્રિય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એથ્લિટ કેન્દ્રિત વિકાસ, ઓલિમ્પિક શિક્ષણ અને સંસ્થાકિય ક્ષમતા નિર્માણ ને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત રાખવાનો છે. નેશનલ ઓલિમ્પિક એકેડમી એ ઓલિમ્પિક શિક્ષણ, અભ્યાસ, રિસર્ચ અને વાર્તા માટે ભારતની મુખ્ય સંસ્થા તરીકે કાર્યરમત રહેશે. આ માટે આઈઓએની સભામાં પી.ટી.ઉષાને આ એકેડમીના પ્રમુખ તથા IOAના વાઈસ પ્રેસિડેન્ટ અને ઓલિમ્પિક મેડલિસ્ટ એવા ગગન નારંગને NOAના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ઓલિમ્પિક મૂલ્યોનું શિક્ષણ, એથ્લિટ્સ ડેવલ્પમેન્ટ તથા કરિયર ટ્રાન્ઝિશન સહિત બાબતે મદદ કરવા ઉપરાંત કોચ-ઓફિશિયલ્સ, એડમિનિસ્ટ્રેટર્સ અને સપોર્ટ સ્ટાફની ક્ષમતા વધારવાનો અને તૈયાર કરાશે. આ ઉપરાંત રમત સંસ્થાઓમાં પ્રોફેશનલ ઢબે કામ કરવા તૈયાર કરાશે.
વાતાવરણ:મહતમ 3 ડિગ્રી , લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઉંચું આવ્યું
પોરબંદરમાં કકળતી ઠંડી યથાવત રહી છે. મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 17 ડિગ્રીએ પહોંચ્યું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 20 ટકા થયું છે તેમ છતાં વધુ ઠંડીનું પ્રમાણ અનુભવાઈ રહ્યું છે. પોરબંદરમાં ઠંડા પવનના સુસવાટા બોલે છે. ગઈકાલે રવિવારે મહતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું અને આ 26 ડિગ્રી મહતમ તાપમાન આ મોસમનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. જ્યારે સોમવારે મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગઇકાલે રવિવારે લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું અને સામવારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 17 ડીગ્રીએ પહોંચ્યું છે. તાપમાન વધ્યું હોવા છતાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાત્રિના સમયે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 20 ટકા નોંધાયું છે. અત્રે નોંધનીય છેકે, છેલ્લા 2 દિવસથી તાપમાન સતત નીચુ રહેતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હાલ તાપમાન ઉંચકાયું છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:આરટીઓ કચેરીમાં 27માંથી 10 જગ્યા ખાલી , 9.50 લાખ વાહન ચાલકોને હાલાકી
પોરબંદરના દેગામ ગામે આરટીઓ કચેરી કાર્યરત છે. આ આરટીઓ કચેરી ખાતે 27ના મહેકમ સામે 10 જગ્યા ખાલી છે. જિલ્લામાં અંદાજે 9.50 લાખ જેટલા નવા જૂના વાહનો છે ત્યારે વાહન ચાલકો વાહન પાસિંગ કરાવવા, લાયસન્સ કઢાવવા, ટેક્સ ભરવા સહિત આરટીઓને લગતી કામગીરી માટે જાય ત્યારે કર્મીના અભાવે કામગીરી ટલ્લે ચડે છે. પોરબંદરના દેગામ ગામે આરટીઓ કચેરી આવેલ છે. આ આરટીઓ કચેરી ખાતે સ્ટાફની અછત સર્જાણી છે. આરટીઓ કચેરી ખાતે મહેકમ સામે સ્ટાફની ઘટ છે. આરટીઓ કચેરી તો વિશાળ જગ્યા પર બનાવેલ છે પરંતુ સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી. આરટીઓ કચેરી ખાતે 27ના મહેકમ સામે 10 જગ્યા ખાલી પડેલ છે. ખાલી જગ્યા હોવાને કારણે 1 કર્મી પર 2 કર્મીનું કામ આવે છે જેથી કર્મચારીઓને કામનું ભારણ વધી જાય છે તેમજ કામગીરી પણ ખોરવાઈ રહી છે. હાલ કેટલીક કામગીરી ઓનલાઇન થઈ છે પરંતુ મહેકમ સામે પુરતા સ્ટાફની જગ્યા ભરેલ હોય તો કામગીરી અસરકારક થાય તેમ છે. પોરબંદર જિલ્લામાં નાના મોટા અંદાજે 9.50 લાખ વાહનો છે. આરટીઓ કચેરી દ્વારા વાહનોના લાયસન્સ આપવા, વાહન ચેકીંગ, નામ ટ્રાન્સફર કરવા, ચકાસણી, પોલીસે ડીટેઈન કરેલ વાહનોનો દંડ પ્રક્રિયા, વાહનોના પાસિંગ, ડ્રાઈવિંગ ટેસ્ટ લેવા સહિતની કચેરીની વહીવટી કામગીરી કરવાની હોય છે. 9.50 લાખ વાહનોના ચાલકોને કર્મચારીઓની ઘટ હોવાથી કામગીરી ખોરવાઈ છે અને અરજદારોને ધક્કા ખાવા પડે છે. કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી અને કેટલી ભરાયેલી ?આરટીઓ કચેરી ખાતે આસી.આરટીઓ ઇન્સ્પેકટરની મહેકમ મુજબ 8 માંથી 6 જગ્યા ભરેલ છે અને 2 જગ્યા ખાલી છે. આરટીઓ ઇન્સ્પેકટરની 3 માંથી 2 જગ્યા ભરેલ છે અને 1 જગ્યા ખાલી છે. એઆરટીઓ ની 1ના મહેકમ સામે 1 જગ્યા ભરેલ છે જ્યારે જુનિયર ક્લાર્કની 11માંથી 6 જગ્યા ભરેલ છે અને 5 જગ્યા ખાલી છે. જ્યારે સિનિયર ક્લાર્કની બંને જગ્યા ભરેલ છે પરંતુ હેડ ક્લાર્કની 2ના મહેકમ સામે બંને જગ્યા ખાલી છે.
પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લગ્ન નોંધણી વિભાગ આવેલ છે.જેમાં વર્ષ 2025માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2736 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તો વર્ષ 2024માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2831 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.2025માં લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી 95 લગ્ન ઘટયા છે. પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં અલગ અલગ અનેક વિભાગ આવેલ છે.જેમાં મનપાના જન્મ મરણ અને લગ્ન રજિસ્ટ્રેશન વિભાગ પણ આવેલ છે.લગ્ન રજિસ્ટ્રેશન વિભાગમાં લગ્નગ્રંથીથી જોડાયેલ દંપતી મેરેજ સર્ટિફિકેટ માટે રજિસ્ટ્રેશન કરાવે છે ત્યારે આ વિભાગમાં વર્ષ 2024માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2831 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તો વર્ષ 2025માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2736 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.વર્ષ 2025માં સીમિત જ લગ્નના મુહૂર્ત હોવાથી વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં 95 લગ્ન ઘટયા હતા.વર્ષ 2025માં જાન્યુઆરી માસમાં લગ્નના ખૂબ ઓછા મુહૂર્ત હોવાથી આ વર્ષમાં લગ્ન પ્રસંગો ઘટયા છે. લગ્ન રજિસ્ટ્રેશન વિભાગે 240 લગ્ન સર્ટિફિકેટ સ્થળ પર આપ્યા પોરબંદર મહાનગરપાલિકાના લગ્ન રજિસ્ટ્રેશન વિભાગના વિવેકભાઈ દ્વારા સમુહલગ્નમાં સ્થળ પર જ દંપતિનું લગ્ન રજિસ્ટ્રેશન કાર્યવાહી કરી સ્થળ પર સર્ટિફિકેટ આપવામાં આવે છે.વર્ષ 2025માં 240 દંપતીને સ્થળ પર લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જૂનાગઢના બજારમાં સિંગ અને ચીકીની ખરીદી માટે લોકોની ભીડ જામી રહી છે. જોકે, આ વર્ષે ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીની અસર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચીકીના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક વેપારી જયેશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે માંડવી (સીંગદાણા) અને તલના ભાવમાં થયેલા વધારાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેની અસર છૂટક બજાર પર પડી છે. બજારમાં અત્યારે કાજુ-બિસ્કિટ ચીકી, તલ ચીકી, માંડવીની ચીકી, તલ-ટોપરું અને માંડવીની મિક્સ ચીકી જેવી વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે. મોંઘવારીને કારણે વેચાણ પર થોડી અસર પડી છે, તેમ છતાં ગોળની ચીકીનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે ઉતરાયણના આગલા દિવસોમાં બજારમાં રોનક અને ઘરાકી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ખરીદીનો માહોલ થોડો ‘ઠંડો' જોવા મળી રહ્યો છે. લોકો જરૂરિયાત મુજબની જ ખરીદી કરી રહ્યા છે. વધતા ભાવ વચ્ચે પણ જૂનાગઢવાસીઓ પર્વની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.
લુન્સિકૂઇમાં ધોળા દિવસે બની ચોરીની ઘટના:પરિવાર કામ માટે ગયું અને ઘરમાં 2 લાખ મતાની ચોરી
નવસારીમાં ધોળા દિવસે ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં લુન્સિકૂઇ નજીક આવેલ ગુલાબદાસની વાડીમાં આવેલ શ્રુતિ ફ્લેટ્સમાં રહેતા બીનાબેન સંજયભાઈ ગોરવાએ જણાવ્યું કે, સોમવારે બપોરે તેઓ કામ માટે 11.30 કલાકથી 2.30 કલાક સુધી બહાર હતા. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું નકૂચા સાથે તોડી ઘરમાં મૂકેલા રોકડા 30 હજાર, દોઢ તોલાની સોનાની, સાચા મોતીની માળા, સોનાની બુટ્ટી, વીંટી ચેન ચાંદીના સિક્કા મળી કુલ બે લાખથી વધુની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે મોડી સાંજ સુધીમાં ફરિયાદ દાખલ કરી ન હતી. એક માસમાં ભર દિવસે ચાર ચોરીની ઘટનાનવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં એક માસમાં ચાર જગ્યાએ ધોળા દિવસે ચોરીની ઘટનામાં શાંતાદેવી રોડ ખાતે આવેલ શિવધારા એપાર્ટ. દંપતીના ઘરે રૂ.1.35 લાખની ચોરી, તા.29 નવેમ્બરના રોજ, કબીલપોરના સંસ્કૃત એપાર્ટ.માં ત્રીજા માળે રૂ.1.89 લાખ ની ચોરી અને રાયચંદ રોડ પાસે આવેલ એપાર્ટ.માં 1.65 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી અને તા.12 જાન્યુઆરીના રોજ લુન્સિકૂઇ વિસ્તારમાં શ્રુતિ ફ્લેટ્સમાં રોકડ અને સોનાચાંદીના દાગીના મળી બે લાખની ચોરીની ઘટના બની છે.
સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આ આકરા પગલાં લીધા છે. સિટી બસ સેવા 30 ટકા ક્ષમતા સાથે જ દોડશેબીજી તરફ, સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શિડ્યુલના માત્ર 30 ટકા ક્ષમતા સાથે જ દોડશે. આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70 ટકા જેટલો કાપ યથાવત રાખવામાં આવ્યો છે. BRTS કોરિડોરમાં અકસ્માત નિવારવા લેવાયો નિર્ણયઆ નિર્ણય પાછળનું મુખ્ય કારણ BRTS કોરિડોરમાં થતા અકસ્માતો છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસના ટ્રેક પર દોડી આવતા હોય છે. બસોની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી શકતો નથી, જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ ઉપરાંત, હવામાં લટકતી પતંગની કાચ પાયેલી દોરી ટુ-વ્હીલર સવારોની જેમ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. મહાનગરપાલિકાનો 'સેફ્ટી ફર્સ્ટ' એપ્રોચપતંગ મહોત્સવના દિવસે લોકો અગાશી પર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે પાલિકાએ આ સેફ્ટી ફર્સ્ટ એપ્રોચ અપનાવ્યો છે. વાસી ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી ૧૫મી જાન્યુઆરીએ BRTS ને માત્ર 30 ટકા અને સીટી બસને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે. 2 લાખથી વધુ મુસાફરો પ્રભાવિતસુરતનું 108 કિમી લાંબુ BRTS નેટવર્ક શહેરની જીવાદોરી સમાન છે. રોજના અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે. કુલ 754 બસોના કાફલામાંથી મોટાભાગની બસો બંધ રહેતા મિની ભારત ગણાતા સુરતના શ્રમિક અને મધ્યમ વર્ગના મુસાફરોએ રિક્ષા અથવા ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડશે. તંત્રએ અગાઉથી જ મુસાફરોને આ ફેરફારની નોંધ લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા અપીલ કરી છે. ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા કારીગરો જેઓ રોજબરોજ આ બસોમાં મુસાફરી કરે છે, તેમને આ બે દિવસ દરમિયાન આવવા-જવામાં ભારે આર્થિક અને સમયનો બોજ સહન કરવો પડશે. તંત્રના જણાવ્યા અનુસાર, જનહિતમાં લેવાયેલા આ નિર્ણયમાં સહકાર આપવો જરૂરી છે જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય. શહેરના 'ડેન્જર ઝોન' પર ખાસ નજરપાલિકા દ્વારા શહેરના એવા રૂટ્સની ઓળખ કરવામાં આવી છે જ્યાં અકસ્માતનું જોખમ સૌથી વધુ રહે છે. વરાછા-સીમાડા રૂટ ગીચ વસ્તીવાળો હોવાથી ત્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે અને અકસ્માતની શક્યતા વધુ રહે છે. તેવી જ રીતે ઉધના-મગદલ્લા અને ઉધના-પાંડેસરા કોરિડોર પર બસોની સ્પીડ વધુ હોવાથી તેને હાઈ-રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યા છે. કતારગામ અને વેડ રોડ જેવા વિસ્તારોમાં સાંકડા રસ્તાઓને કારણે સિટી બસ અને પતંગબાજો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના રહે છે. આ તમામ હોટસ્પોટ વિસ્તારોમાં બસ સેવાના કાપને કારણે અકસ્માતોમાં ઘટાડો થશે તેવી તંત્રને આશા છે. સુરત મહાનગરપાલિકાના આ નિર્ણયથી ઉત્તરાયણ પર્વ વધુ સુરક્ષિત બનશે તેમ મનાઈ રહ્યું છે.
મોરબીના ધરમપુર રોડ પર આવેલા લાભનગર પાસે સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. 112 જનરક્ષક પોલીસની બોલેરો ગાડીએ એક રીક્ષા અને એક કારને હડફેટે લેતા આ બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ છ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક બોલેરો ગાડી લઈને કોન્સ્ટેબલ અજયભાઈ લાવડીયા પેટ્રોલિંગ માટે બાયપાસ રોડ પર નેક્સેસ સિનેમા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન લાભનગર પાસે ગોળાઈમાં તેમની ગાડીએ એક રીક્ષા અને એક ઇકો સ્પોર્ટ કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં બોલેરો ગાડીના ચાલક પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ લાવડીયા ઉપરાંત ભારતીબેન જગદીશભાઈ, મિતલ રામજીભાઈ અને પારુલ કાળુભાઈ સહિત કુલ છ લોકોને ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સરકારી અને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા, પીઆઈ વી.એન. પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતની નોંધ કરી છે અને ભોગ બનેલા વ્યક્તિઓની ફરિયાદ લેવા માટે વધુ તજવીજ હાથ ધરી છે.
સુરતના અલથાણમાં તાજેતરમાં રાજલક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટમાં 40 ફૂટ ઊંડી ડી-વોલ ધરાશાયી થવાની ઘટનાએ સુરતને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનાને પગલે શિવ રેસિડેન્સિના ચાર બિલ્ડીંગો પર ખતરો મંડરાયો હતો. આટલી મોટી ચેતવણી છતાં સુરત મહાનગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી. શહેરના પુણા વિસ્તારમાં ફરી એકવાર આવો જ જોખમી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મંજૂરી વિના જ મોટું ખોદકામ કરી દેવાયું છે. નિયમોને નેવે મૂકી 'કેલિકુંજ વેદિકા હાઈટ્સ'નું નિર્માણપુણાના યોગી ચોક વિસ્તારમાં આવેલી કેલિકુંજ વેદિકા હાઈટ્સ પ્રોજેક્ટ દ્વારા મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના 9 ફૂટ ઊંડું બેઝમેન્ટ ખોદી નાખવામાં આવ્યું છે. આ ગેરકાયદે ખોદકામને કારણે આજુબાજુની સોસાયટીઓ જેવી કે યોગી હાઈટ્સ અને મંગલમ રેસીડેન્સીના બાંધકામને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોની સુરક્ષા જોખમમાં મુકાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ચાલુસ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કરણ ભાવસારને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગત 31 ડિસેમ્બર 2025ના રોજ મનાઈ હુકમ અને નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નોટિસ આપ્યા બાદ પણ સ્થળ પર કામગીરી અવિરત ચાલુ છે. અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગતને કારણે માત્ર કાગળ પર જ કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. નિયમોનું થઈ રહ્યું છે ઉલ્લંઘનઆ પ્રોજેક્ટમાં માત્ર બાંધકામ જ નહીં, પરંતુ પર્યાવરણ અને ડ્રેનેજ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ફરિયાદ મુજબ નીચે મુજબના કાયદાઓનો ભંગ થઈ રહ્યો છે, તાત્કાલિક FIR નોંધાવી સાઇટ સીલ કરવી જોઈએ: વિજય પાનશેરિયાપૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, લોકોના જીવ જોખમમાં મૂકનાર બિલ્ડર સામે તાત્કાલિક FIR નોંધાવવી જોઈએ અને સાઇટ સીલ કરવી જોઈએ. બિલ્ડર પાસેથી રોયલ્ટી વસૂલ કરી, CGDCR અને SWMના નિયમોનું પાલન કરાવવું જોઈએ. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની?
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના, ગાંજા સહિતની અનેક ચીજવસ્તુઓ સાથે મુસાફરોને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આજે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્ટ ઓફિસરો દ્વારા ત્રણ કેસો કરીને તરખાટ મચાવી દીધો હતો. જેમાંથી બે કેસ 44 લાખથી વધુ રકમની વિદેશી ચલણ સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે એક મુસાફરના જીન્સ પેન્ટના ખિસ્સામાંથી 310.12 ગ્રામનો એક ગોલ્ડ બાર કબ્જે કર્યો હતો. જેની બજાર કિંમત 44,05,565 થવા જાય છે. આમ સરવાળે આજે સવારે કસ્ટમ્સ વિભાગે 88 લાખથી વધુ કિંમતના જુદી જુદી ચીજવસ્તુના કુલ ત્રણ કેસો કર્યા હતા. બેંગકોક જતા મુસાફર પાસેથી 32.14 લાખની વિદેશી ચલણી નોટો મળીઅગાઉથી મળેલી બાતમીના આધારે કસ્ટમ્સના એર યુનિટ દ્વારા આજે 12 જાન્યુઆરીના રોજ અમદાવાદથી બેંગકોક જઇ રહેલાં એક મુસાફરને અટકાવીને તપાસ કરતાં તેની પાસેથી 32.14 લાખની કિંમતની વિદેશી ચલણી નોટો મળી આવી હતી. જેમાં પાઉન્ડ અને ઓસ્ટ્રેલિયન ડોલર હતા. આ વિદેશી ચલણી નોટોમાંથી 30,94,00ની કિંમતના 700 નંગ પાઉન્ડ તથા 1,20,130ની કિંમતની ઓસ્ટ્રેલિયન ડોલર નંગ 41 વિદેશી મળી આવ્યા હતા. જોકે, તેના સામાનમાં કસ્ટમ અધિનિયમની જોગવાઇ અંતર્ગત વિદેશી ચલણી નોટોની જાહેર કરવામાં આવી નહીં હોવાથી કસ્ટમ્સ વિભાગે ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ (ચલણની નિકાસ અને આયાત) રેગ્યુલેશન 2015 અંતર્ગત કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઇઓ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ અંગેની વધુ તપાસ ચાલુ છે. અન્ય મુસાફર પાસેથી 11.64 લાખની વિદેશી ચલણી નોટો જપ્ત કરીઆ જ રીતે થાઇ લાયન એરફલાઇટ દ્વારા અમદાવાદથી બેંગકોક જઇ રહેલાં બીજા મુસાફર પાસેથી 11,64,805ની કિંમતની વિદેશી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. જેમાં પાઉન્ડ, યુરો અને ઓસ્ટ્રેલિયન ડોલરનો સમાવેશ થાય છે. તપાસ કરતાં 5,77,150ની કિંમતની 217 નંગ પાઉન્ડ, 3,47,395ની કિંમતની 67 યુરો અને 2.40,260ની કિંમતના 41 ઓસ્ટ્રેલિયા ડોલર મળી આવ્યા હતા. તેમણે પણ આ વિદેશી ચલણી નોટો જાહેર કરવામાં આવી ન હોવાથી કસ્ટમ્સ વિભાગના એર યુનિટ દ્વારા કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઇ હેઠળ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 44 લાખની કિંમતનો સોનાનો બાર કબ્જે કર્યોઆ ઉપરાંત કસ્ટમ્સ વિભાગના એર યુનિટ દ્વારા પેસેન્જરના પ્રોફાઇલિંગના આધારે એર એશિયાની ફલાઇટમાં તપાસ કરતાં એક મુસાફરના જીન્સ પેન્ટના ખિસ્સામાં 310.12 ગ્રામની 24 કેરેટનો એક ગોલ્ડ બાર છૂપાવ્યો હોવાનું જણાયું હતું. જેની કુલ બજાર કિંમત 44,05,565 રૂપિયા થાય છે. તે જપ્ત કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત એક સભામાં, પક્ષના નેતાઓ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં વડોદરાના પાંચ ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં અધિકારીઓ તેમને માન આપતા નથી અને તેમનું કામ કરતા નથી તેવી ફરિયાદ કરાઈ હતી. ઈશુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં સરકારી અંગ્રેજી શાળાઓના અભાવ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં ડોકટરોની અછત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે મહાનગરપાલિકા દ્વારા ભાજપનો પ્રચાર ન કરવા અને વિકાસના પાંચ કાર્યો દર્શાવવા પડકાર ફેંક્યો હતો. ગઢવીએ 'મા કાર્ડ' અને 'પિતા કાર્ડ'ના બેફામ ઉપયોગ અને ખોટા ઓપરેશનો થતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વિસાવદરની જનતાને લાખ લાખ સલામ કરી હતી, કારણ કે 160 ગામોમાં 162 જેટલા ધારાસભ્યો પ્રચારમાં ઉતર્યા હોવા છતાં જનતાએ તેમને સાથ આપ્યો ન હતો. જૂનાગઢની વાત કરતા ઈશુદાન ગઢવીએ હેમાબેન આચાર્યનો ઉલ્લેખ કર્યો, જેઓ સંઘના અગ્રણી કાર્યકર હતા. ગઢવીએ કહ્યું કે તેમણે હેમાબેનને ભાજપમાં લાવ્યા હતા, પરંતુ હવે તેઓ તેમને ભાજપને હટાવવા માટે આશીર્વાદ આપે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ લોકશાહીને બદલે 'મુગલ સરકાર' જેવી પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે શહેનશાહ આવે છે ત્યારે રોડ-રસ્તા બની જાય છે, પરંતુ સામાન્ય માણસો અને સરકારી કર્મચારીઓ હેરાન થાય છે. ઇટાલીયાએ વડોદરાના પાંચ ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો મુદ્દો ફરી ઉઠાવ્યો હતો. આ પત્રમાં ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી કે અધિકારીઓ તેમને માન આપતા નથી અને તેમનું કામ કરતા નથી. ઇટાલીયાએ સવાલ કર્યો કે જો ભાજપના ધારાસભ્યોનું અધિકારીઓ પાસે ઉપજતું ન હોય, તો ગામડાના સામાન્ય માણસોની દશા શું હશે? ગોપાલ ઇટાલીયાએ વધુમાં કહ્યું કે, ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરે છે કે તેમનું કંઈ ઉપજતું નથી. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, કદાચ મુખ્યમંત્રી પણ આવો જ પત્ર લખવા માંગતા હશે કે તેમનું પણ કંઈ ઉપજતું નથી, પરંતુ તેઓ કોને કહે? તેમણે વર્તમાન પરિસ્થિતિને એવી ગણાવી કે જાણે બાળક પિતાને ફરિયાદ કરે, પણ પિતા કોને ફરિયાદ કરે. આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા હેમંત ખાવા સૌરાષ્ટ્ર જ્યોન અધ્યક્ષ પ્રકાશ દોંગા, શહેર અને જિલ્લા ના આમ આદમી પાર્ટીના પ્રમુખો,મહામંત્રી, આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળના લુહાણા સેનેટરીમાં બે બંધ મકાનમાં આગ:ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
વેરાવળ શહેરના લુહાણા સેનેટરી વિસ્તારમાં આજે સાંજે આશરે 6:30 વાગ્યે બે બંધ મકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગને કાબૂમાં લેવાઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બકાલા માર્કેટથી આગળ, સોની વંડીની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં બની હતી. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. LFM સુનીલકુમાર ચુડાસમા, FM મયંક ડાભી, FM ભાવેશ ચાવડા, લાલા, ધરમશી કોટિયા અને અનિલ સહિતનો સ્ટાફ મિની ફાયર ફાઇટર (GJ-18-GB-9039) અને વોટર બ્રાઉઝર નંબર 6225 સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આગને કારણે આસપાસ ધુમાડો ફેલાઈ ગયો હતો, પરંતુ ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે આગ અન્ય મકાનો સુધી ફેલાતી અટકાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આગ બિપીન જીમુલીયાના મકાનમાં લાગી હતી, જે ઘણા લાંબા સમયથી બંધ હતું અને તેમાં કોઈ રહેતું ન હતું. તેમ છતાં, આજુબાજુના મકાનોમાં લોકો વસવાટ કરતા હોવાથી આગની ઘટના વધુ ગંભીર બની શકે તેવી સ્થિતિ હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં વેરાવળ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી પ્રતિસાદને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત છે. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા એક મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે તાલાલા ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય આયોજન માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમના આયોજન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલાલા ખાતે વિવિધ વિભાગોના આકર્ષક ટેબ્લો, રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય ભાવનાને પ્રતિબિંબિત કરતી પ્રસ્તુતિઓ સાથે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરે વીજ પુરવઠા વ્યવસ્થા, વાહન પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા, ફાયર ફાઈટર સેવા, આરોગ્ય સુવિધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે તમામ વ્યવસ્થાઓ સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી તેમજ શિક્ષણ, પોલીસ, આરોગ્ય, રમતગમત અને પી.જી.વી.સી.એલ. સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરની લાફિંગ ક્લબ તણાવ ઘટાડે છે:આર્ટસ કોલેજ મેદાનમાં રોજ સવારે વહે છે હાસ્યની સરવાણી
સુરેન્દ્રનગરમાં 'એક્ટિવ લાફિંગ ક્લબ' છેલ્લા બે દાયકાથી વડીલોના જીવનમાં હાસ્ય અને ખુશીઓ લાવવાનું કાર્ય કરી રહી છે. આ ક્લબ દરરોજ સવારે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં ભેગી થાય છે, જ્યાં 30થી 85 વર્ષના 40થી વધુ સભ્યો તણાવમુક્ત જીવન માટે હાસ્ય અને વ્યાયામ કરે છે. આ લાફિંગ ક્લબની શરૂઆતનો વિચાર ડૉ. મદન કટારિયા દ્વારા 10 જાન્યુઆરી 1998ના રોજ મુંબઈમાં કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરની આ ક્લબ વર્ષ 2002માં સ્થપાઈ હતી અને ત્યારથી તે શહેરના વડીલો માટે એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ બની રહી છે. ક્લબના સભ્યો દરરોજ સવારે 6:20 થી 7:30 દરમિયાન એકઠા થાય છે. દિશેનભાઈ તુરખીયાના જણાવ્યા અનુસાર, આ ક્લબની શરૂઆત બી.જે. પટેલ, આર.જે. શાહ અને મનજીભાઈ બારદાને કરી હતી. હાલમાં જશુકાકા, મનસુખલાલ પદમસી અને બી.ડી. ગાંધી ક્લબનું સંચાલન કરી રહ્યા છે. આજના ભાગદોડભર્યા જીવનમાં જ્યાં લોકો ભૌતિક સુવિધાઓ પાછળ દોડીને પોતાનું હાસ્ય ગુમાવી રહ્યા છે, ત્યાં હાસ્યને શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. હાસ્ય કુદરતી રીતે તણાવ દૂર કરે છે અને માનસિક રોગો, ડિપ્રેશન તથા એકલતા સામે રક્ષણ આપે છે. તે હૃદયને સ્વસ્થ રાખવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ક્લબમાં હાસ્યની સાથે જનરલ એક્સરસાઇઝ અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જે વડીલોને શારીરિક રીતે ફિટ રાખવામાં મદદ કરે છે. આર્ટિફિશિયલ હાસ્ય, એટલે કે કોઈ રમુજી કારણ વગર માત્ર વ્યાયામ તરીકે હસવું, તે પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. વિજ્ઞાન અનુસાર, મગજ 'નકલી હાસ્ય' અને 'સાચા હાસ્ય' વચ્ચેનો તફાવત પારખી શકતું નથી, જેથી તેના ફાયદા સમાન રહે છે.
બોટાદમાં રત્નકલાકારોના બાળકોને શિક્ષણ સહાય શરૂ:સરકારે ડાયમંડ એસોસિયેશનની રજૂઆત બાદ કરી જાહેરાત
બોટાદ જિલ્લામાં રત્નકલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય યોજના શરૂ થઈ છે. સરકાર દ્વારા આ સહાય મળવાની શરૂઆત થતાં રત્નકલાકારોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે રત્નકલાકારોના બાળકોના શિક્ષણ પર અસર ન થાય તે માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા રત્નકલાકારોના બાળકોને મહત્તમ ૧૩,૫૦૦ રૂપિયાની શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન દ્વારા સહાય માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાંથી કુલ ૧૩,૪૦૦ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૧૩,૧૬૬ ફોર્મ મંજૂર થયા છે. મંજૂર થયેલા ફોર્મના આધારે બોટાદ જિલ્લાને અંદાજે ૧૬ કરોડ રૂપિયાની શિક્ષણ સહાય ફાળવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૪.૫૦ કરોડ રૂપિયા સંબંધિત શાળાઓના ખાતામાં જમા થઈ ગયા છે, જ્યારે બાકીના આશરે દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળતાં જ ચૂકવવામાં આવશે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ શંકરભાઈ ધોળુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી રત્નકલાકારોના પરિવારોને મોટી રાહત મળી છે અને બાળકોના શિક્ષણ માટેની ચિંતા દૂર થઈ છે. આ શિક્ષણ સહાય શરૂ થતાં બોટાદ જિલ્લાના રત્નકલાકારોમાં સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રવર્તી રહી છે.
પંચમહાલ SOGએ ચાઈનીઝ દોરી સાથે બે પકડ્યા:ગોધરા અને સંતરોડ પરથી 22 રીલ જપ્ત, 17 હજારનો મુદ્દામાલ
પંચમહાલ SOG પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી 22 રીલ ચાઈનીઝ દોરી સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. ગોધરા શહેરના બાવાનીમઢી પતંગ બજાર પાસેથી મહેશ મકવાણા નામના વ્યક્તિને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 10 રીલ સાથે પકડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સંતરોડ બસ સ્ટેન્ડ નજીકથી મહેન્દ્ર દિલીપભાઈ બારીયા નામના અન્ય એક વ્યક્તિને ચાઈનીઝ દોરીની 12 નંગ રીલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 17,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વેરાવળ પોલીસે આગામી મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને શહેરમાં ફૂટ માર્ચ પણ કરવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન શાંતિ, સદભાવ અને ભાઈચારો જાળવવાનો હતો. આ બેઠકમાં પતંગ ઉડાવતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા અને જાહેર માર્ગો પર અવરોધ ન સર્જાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠક બાદ વેરાવળ સીટી પોલીસે શહેરના મુખ્ય બજારો, વ્યસ્ત વિસ્તારો અને રાજમાર્ગો પર ફૂટ માર્ચ યોજી હતી. આ ફૂટ માર્ચ દ્વારા પોલીસે અસામાજિક તત્વોને કાયદાભંગ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો હતો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરી હતી. તહેવારો દરમિયાન વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવશે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પણ આયોજન કરાયું છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને મોબાઇલ પેટ્રોલિંગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવીએ નાગરિકોને મકરસંક્રાંતિ સહિતના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન કરી પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ તેમણે જણાવ્યું છે. પોલીસે ખાતરી આપી છે કે આગામી મકરસંક્રાંતિ પર્વ નાગરિકો આનંદ, ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવી શકે તે માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન સંપૂર્ણ રીતે સજ્જ છે.
રાપર પોલીસની ચાઇનીઝ દોરાના વેચાણ પર કાર્યવાહી:દુકાનમાંથી 120 રીલ જપ્ત કરી, એક આરોપીની ધરપકડ
રાપર પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના વેચાણ પર કાર્યવાહી કરી છે. પોલીસે એક દુકાનમાંથી 60,000 રૂપિયાની કિંમતની 120 રીલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ દોરી શોધી કાઢવા માટે સૂચનાઓ અપાઈ હતી. રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયાને ખાનગી બાતમી મળી હતી કે પાર્થ પ્રકાશભાઈ માલી (ઉં.વ. 23, રહે. અયોધ્યાપુરી, રાપર) તેની માલીચોકમાં આવેલી ટોપટેન નામની કપડાની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દુકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પાર્થ માલી પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની 120 રીલ મળી આવી હતી, જેની કિંમત 60,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે પાર્થ માલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હેમંત ચૌહાણ (રહે. તકિયાવાસ, રાપર, વરરાજા ગેલેરી નામની દુકાનવાળો) નામનો એક આરોપી હાજર મળી આવ્યો ન હતો અને તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયા અને રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવના બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ને 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી, હવે 17 જાન્યુઆરી સુધી લોકો પતંગોત્સવની મજા માણી શકશે. આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે. પતંગ મહોત્સવમાં સૌ પ્રથમ વખત અમદાવાદની હેરિટેજની થીમ પર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશેદર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે હેરિટેજની થીમના કારણે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે. અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઉભી કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની નગરજનોને આકર્ષિત કરી રહી છે. દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશેઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ પ્રકારના રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતાં આયોજનો થકી સમગ્ર ગુજરાતની ઓળખ વૈશ્વિકસ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન ગંતવ્ય તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશેઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026ની મુલાકાતે આવનારા લોકો માટે અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે. બપોરના 3 વાગ્યા બાદ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ 50ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સાંજે 07:00 વાગ્યાથી યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકાશે. આ માટેનું બુકિંગ ઓનલાઈન 'બુક માય શો'ની વેબસાઇટ (https://in.bookmyshow.com/) તથા મોબાઈલ એપ્લિકેશન પર કરી શકાશે. પતંગોત્સવ દરમિયાન ખાદ્ય અને હસ્તકલા સ્ટોલ, કાઇટ ફ્લાયિંગ નું અવલોકન તથા પતંગ વર્કશોપ જેવા આકર્ષણો સૌ કોઇ મુલાકાતી ઓ માટે ખુલ્લા રહેશે. 5 લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાત મુલાકાતે આવવાનું અનુમાન‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવવાનું અનુમાન છે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.
ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.300થી વધારીને હવે રૂ.450 આપવા આવશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે. રાજ્યના TRB જવાનો માટે એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણયમુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના દિશાનિર્દેશ હેઠળ ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂ.300 માંથી વધારીને હવે રૂ.450 કરવામાં આવ્યું છે, જે આજથી અમલી બનશે.આ નિર્ણયથી 10,000થી વધુ TRB પરિવારોને સીધો લાભ મળશે.— Harsh Sanghavi (@sanghaviharsh) January 12, 2026 ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવા નિર્ણય લીધો છે. ગૃહ વિભાગના વર્ષ ૨૦૧૮ ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂ. ૩૦૦ ચૂકવવામાં આવતા હતા.રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન રૂ. ૪૫૦ કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે ૧૦,૦૦૦ થી વધુ ટી.આર.બી. જવાનો અને તેમના પરિવારને મળશે. રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે, જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે.
ગોધરામાં 'ઓપરેશન સિંદૂર' પતંગોનો સ્ટોક ખાલી:દેશભક્તિ થીમના પતંગ-માઝાની ભારે માગ
ઉત્તરાયણ પર્વ નજીક આવતા પંચમહાલના ગોધરા શહેરમાં પતંગ બજારમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 'ઓપરેશન સિંદૂર' થીમ પર આધારિત પતંગો અને માઝાની ભારે માંગ છે, જેના કારણે વેપારીઓ પાસે સ્ટોક ખૂટી પડ્યો છે. દેશભક્તિ અને ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતી આ થીમ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. સામાન્ય રીતે ફિલ્મી સિતારાઓ કે કાર્ટૂન કેરેક્ટરના પતંગોની માંગ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે ગોધરાના યુવાનોમાં દેશભક્તિનો રંગ છવાયો છે. ગોધરાનું પતંગ બજાર હાલ ગ્રાહકોથી ઉભરાઈ રહ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન સિંદૂર' થીમના પતંગો અને માઝાનો સ્ટોક દુકાને આવતાની સાથે જ ગણતરીના કલાકોમાં વેચાઈ જાય છે.
મતદારો ECINET પોર્ટલ પર આધાર-પુરાવા રજૂ કરી શકશે:નોટિસ મળેલ મતદારોએ સુનાવણીમાં હાજર રહેવું ફરજિયાત
બનાસકાંઠામાં મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત નોટિસ મળેલ મતદારો હવે ECINET પોર્ટલ પર તેમના આધાર-પુરાવા ઓનલાઈન રજૂ કરી શકશે. જોકે, પુરાવા અપલોડ કર્યા બાદ પણ સુનાવણીમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે કે, આ કાર્યક્રમ હેઠળ 19 ડિસેમ્બર, 2025 ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. 'નો મેપિંગ' યાદીમાં સમાવિષ્ટ મતદારોને હકક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવા તેમજ સુનાવણી માટે નોટિસ પાઠવવામાં આવી છે. જે મતદારોને સુનાવણી માટે નોટિસ આપવામાં આવી છે, તેઓ ECINET પોર્ટલ પર Submit Document Against Notice Issued વિકલ્પમાં પોતાના આધાર-પુરાવા E-sign કરીને અપલોડ કરી શકે છે. જોકે, અહીં એ નોંધવું અત્યંત આવશ્યક છે કે, ઓનલાઈન આધાર-પુરાવા અપલોડ કર્યા પછી પણ સંબંધિત મતદારોએ સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવું પડશે. આ સુધારણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્રતા ધરાવતો મતદાર મતદારયાદીમાં સામેલ થવાથી રહી ન જાય અને કોઈ પણ અપાત્ર મતદારનો સમાવેશ ન થાય.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક ઓપરેશન હાથ ધરીને ઉત્તર પ્રદેશની એક ખતરનાક આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ખાસ કરીને મોટા શહેરોમાં મની એક્સચેન્જની દુકાનોમાં ઘરફોડ ચોરી કરવામાં માહેર હતી. પોલીસને મળેલી બાતમીના આધારે અલથાણ વિસ્તારની એક હોટલમાંથી આ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી ટાર્ગેટ નક્કી કરવાની અનોખી 'MO'આ ગેંગની કામ કરવાની પદ્ધતિ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ કોઈપણ નવા શહેરમાં જઈને સૌ પ્રથમ ગૂગલ સર્ચ એન્જિન પર 'Money Exchange Near Me' સર્ચ કરતા હતા. તેમને ખબર હતી કે આવી દુકાનોમાં મોટી માત્રામાં રોકડ રકમ ઉપલબ્ધ હોય છે. ગૂગલ દ્વારા લોકેશન મેળવી તેઓ દિવસ દરમિયાન રેકી કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા. લોખંડના સળિયાથી મિનિટોમાં તાળા તોડતાઆરોપીઓ પોતાની પાસે લોખંડના મજબૂત સળિયા રાખતા હતા. ટાર્ગેટ નક્કી થયા બાદ મોડી રાત્રે દુકાનોના શટર અથવા દરવાજાના તાળા સળિયા વડે તોડી તેઓ અંદર પ્રવેશતા હતા. માત્ર રોકડ રકમની જ ચોરી કરવી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, જેથી ભાગવામાં સરળતા રહે અને માલ સગેવગે કરવાની માથાકૂટ ન રહે. ધરપકડ કરાયેલા આરોપીઓની વિગતોક્રાઈમ બ્રાન્ચે જે ચાર આરોપીઓને પકડ્યા છે તેમાં (1) રિકુ અમરસિંગ ચૌહાણ, (2) યોગેશકુમાર રાજવીરસીંગ ઠાકુર, (3) જુગેન્દ્ર ઉર્ફે જયરામ રાજપુત અને (3) અભિષેક હરીન્દ્રસિંગ ઠાકુરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને પરસ્પર મિત્રો છે. સુરતમાં મોટી ચોરી કરે તે પહેલા જ પકડાયાઆ ગેંગ તાજેતરમાં જ તમિલનાડુના ચેન્નઈમાં ચોરી કરીને ટ્રેન મારફતે સુરત આવી હતી. તેઓ સુરતમાં પણ મની એક્સચેન્જની ઓફિસો ગૂગલ પર સર્ચ કરી તેને તોડવાની ફિરાકમાં હતા. જોકે, સુરત પોલીસની સતર્કતાને કારણે તેઓ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ હોટલ અલથાણ રૂમ્સમાંથી પકડાઈ ગયા હતા. મુદ્દામાલ અને જપ્ત કરેલી ચીજવસ્તુપોલીસે આરોપીઓ પાસેથી ચોરીના રોકડા 23,000 રૂપિયા અને 50,000 રૂપિયાની કિંમતના ૩ મોબાઈલ ફોન મળી કુલ 73,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ રકમ તેઓએ ચેન્નઈની દુકાનમાંથી ચોરેલી રકમનો બાકી રહેલો ભાગ હતો. દિલ્હીથી ચેન્નઈ સુધી ચોરીને અંજામ આપ્યોઆરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ દિલ્હી, નોઈડા, હૈદરાબાદ, સિકંદરાબાદ અને ચેન્નઈ જેવા શહેરોમાં ચોરી કરી ચૂક્યા છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ તેઓએ હૈદરાબાદ મેટ્રો સ્ટેશન પાસે બે મની એક્સચેન્જની દુકાનો તોડી હતી અને ત્યારબાદ ચેન્નઈમાં 'જે.એસ.એમ. ફોરેક્સ' માંથી 24,000 રૂપિયાની ચોરી કરી હતી. આરોપી રિકુ ચૌહાણનો ગુનાહિત ઇતિહાસગેંગનો મુખ્ય સાગરીત રિકુ અમરસિંગ ચૌહાણ રીઢો ગુનેગાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના પર અગાઉ 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓ પણ અગાઉ ફરીદાબાદ, સાકેત અને નોઈડામાં લાખોની ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. હજારો કિલોમીટરનો પ્રવાસ કરી પોલીસને થાપ આપતા ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, આ ગેંગ એક રાજ્યમાં ચોરી કર્યા બાદ પકડાઈ ન જાય તે માટે હજારો કિલોમીટર દૂર બીજા રાજ્યમાં જતી રહેતી હતી. તેઓ સતત મુસાફરીમાં રહીને અલગ-અલગ શહેરોને નિશાન બનાવતા હતા, જેના કારણે સ્થાનિક પોલીસ માટે તેમને ટ્રેસ કરવા મુશ્કેલ બનતું હતું. કન્સ્ટ્રક્શન સાઇટ પર લોખંડની ચોરીમાં પણ સંડોવણીમાત્ર દુકાનો જ નહીં, આ ગેંગે ગાઝિયાબાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ત્રણ વખત લોખંડની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના રિમાન્ડ મેળવી અન્ય કેટલા ગુનાઓમાં તેમની સંડોવણી છે તે દિશામાં તપાસ તેજ કરી છે.
સંઘપ્રદેશ દમણના કચીગામમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી. આ આગ સાથે જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને તાત્કાલિક દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કચીગામ સ્થિત ભંગારના ગોડાઉનમાં કોઈ અગમ્યકારણોસર આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર અને જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની તીવ્રતા એટલી હતી કે, ગોડાઉનમાં રાખેલા જ્વલનશીલ પદાર્થોને કારણે જોરદાર ધડાકા થયા હતા, જેના અવાજ દૂર-દૂર સુધી સંભળાયા હતા. ઘટનાની જાણ થતા જ દમણ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે અનેક ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ બુઝાવવામાં ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી છે તે દિશામાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આગને પગલે આસપાસના વિસ્તારમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.અમે આને અપડેટ કરી રહ્યા છીએ
શહેરના કઠવાડા વિસ્તારમાં એક પતંગના સ્ટોલ સાથે કાર અથડાતા સ્ટોલ પડી ગયો હતો. આ સ્ટોલને ફરીથી સરખો કરતી વખતે ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરનો કરંટ લાગતા ત્રણ સગીર મિત્રોને કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં એક સગીરનું સારવાર દરમ્યાન મોત થયું છે, જ્યારે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કઠવાડા સિંગરવા રોડ પાસે આવેલી સોસાયટી આગળ પતંગનો એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. પતંગનો સ્ટોલ સરખો કરતી સમયે વીજકરંટ લાગતા મોતશુક્રવારે ત્રણ સગીર મિત્રો સ્ટોલમાં આરામ કરી રહ્યા હતા. એ દરમિયાન પુરઝડપે આવી રહેલી એક કાર સ્ટોલના થાંભલા સાથે અથડાઈ ગઈ, જેના કારણે સ્ટોલ નીચે પડી ગયો હતો.આ પછી ત્રણેય સગીર મિત્રો સ્ટોલનો મંડપ ફરીથી સરખો કરવા ગયા હતા. ત્યારે મંડપમાં ખુલ્લો પડેલો ઇલેક્ટ્રિક વાયર તેમની પાસે આવી ગયો અને ત્રણેયને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ ત્રણેય બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તરત જ ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 16 વર્ષીય સગીરનું મોત થયું હતું. જ્યારે અન્ય બે સગીરની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં કાર ચલાવનારનું નામ ધર્મેશ ચુનારા હોવાનું સામે આવ્યું છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં OLX પર ચીજવસ્તુઓ વેચવા મૂકનારનો સંપર્ક કરીને તેમના ઘર સુધી પહોચીને નજરચૂકવીને ચીજવસ્તુ લઇને ફરાર થઈ જતા ગઠિયાને ઝોન-5 એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે આરોપી પાસેથી 15.87 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.આરોપીની પૂછપરછ કરતા તે ઘોરણ-7 સુધી ભણેલ અને ગુનાને અંજામ આપવા માટે ફોનમાં વાઇફાઇનો ઉપયોગ કરતો હતો.આરોપી ચોરીના માલ અડધી કિંમતે દિલ્હી ચોર માર્કેટમાં વેચી દેતો હતો. OLX પર જાહેરાત જોઈ વસ્તુ ખરીદીના બહાને પહોંચી જતોઝોન 5 એલસીબીએ બાતમીના આધારે એક ઠગબાજ 42 વર્ષીય સુરેશ ઠુમ્મરને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા સુરેશ વેબસાઈટ પર જયારે પણ કોઈ વ્યક્તિ પોતાની જૂની ચીજવસ્તુ વેચવા મુકે એટલે તેની પાસે રહેલા ડમી નંબરથી ફોન કરતો હતો. અને બાદમાં રૂબરૂ મળવા જઈને વેચાણ માટે મુકવામાં આવેલી વસ્તુ જોઈ આવતો હતો. ત્યારબાદ વેચવા મુકનાર વ્યક્તિની તમામ માહિતી એકત્ર કરીને જયારે વ્યક્તિ ઘરે હાજર હોય નહી ત્યારે તેના ઘરે જઈને વસ્તુ ચોરી કરી લેતો રૂપિયા ઓનલાઈન આપી દઈશ અથવા તો કેટલાક સંજોગોમાં તો નજર ચૂકવીને પણ ચોરી કરી લેતો હતો. ત્યારે આરોપીને ઝડપીને પોલીસે 5 વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ચોરીનો માલ દિલ્હીમાં અડધા ભાવે વેચી નાખતોનારોલ, ચાંદખેડા, ઓઢવ, વડોદરા, ભરૂચ, સુરત સહીતના પોલીસ સ્ટેશનમાં માસ્ટર માઈન્ડ ચોરી વિરુદ્ધ વિશ્વાસઘાત અને નજર ચૂકવીને ચોરી કરી હોવાના જુદા-જુદા 8 ગુના નોંધાઈ ચુક્યા હતા.પોલીસે આરોપી પાસેથી 15.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પકડાયેલ આરોપી સુરેશ ચોરી કરેલ ચીજવસ્તુઓ દિલ્હીમાં ચોર માર્કેટમાં તેના સાગરિતને અડધા ભાવે વેચતો હતો. તેમાં તે કુરિયર કરાવતો હતો બાદમાં તેના રૂપિયા તે ઓનલાઇન મેળવતો હોવાનું સામે આવ્યુ છે. આગામી સમયમાં પોલીસ દ્વારા દિલ્હી સુધી તપાસ કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના વિરોચનનગરથી થશે. આ યાત્રાના આયોજન અને પૂર્ણાહુતિના કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોની મહત્વની બેઠક યોજાઈ હતી. બોટાદ ક્રોંગ્રેસ દ્વારા આજે તાકીદની કારોબારી બોલાવાઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા‘જન આક્રોશ યાત્રા’ના ત્રીજા તબક્કાના સમાપનમાં લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધી હાજરી આપશે તેવી જાહેરાત કરાઈ હતી. અમદાવાદથી શરૂ થયેલી યાત્રા ભાવનગર, અમરેલી, બોટાદ થઈને સુરેન્દ્રનગર પહોંચશે. 2026માં રાહુલ ગાંધીની ગુજરાતની પહેલી જાહેર સભા સુરેન્દ્રનગરમાં યોજાશે. યાત્રાનો રૂટ અને આયોજનઆ યાત્રા અમદાવાદથી પ્રસ્થાન કરી ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાંથી પસાર થશે. ત્યારબાદ યાત્રા બોટાદ જિલ્લામાં પ્રવેશ કરશે અને અંતે સુરેન્દ્રનગર જિલ્લામાં તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત રાજ્યના વરિષ્ઠ આગેવાનો જોડાશે. રાહુલ ગાંધીની વિશાળ જનસભાયાત્રાના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહેશે અને સુરેન્દ્રનગર ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેદની એકઠી કરવા માટે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. બોટાદમાં કાર્યકરોની બેઠકબોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પ્રમુખ હિંમત કટારીયા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા રમેશ શીલું, પૂર્વ પ્રમુખ રમેશ મેર અને જગદીશ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લાના મહામંત્રીઓ, ઉપપ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. જનતાના પ્રશ્નો પર ભારકોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, આ યાત્રાનો મુખ્ય હેતુ જનતાના પડતર પ્રશ્નો અને સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. યાત્રાને સફળ બનાવવા અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે કાર્યકરોને પાયાના સ્તરે તૈયારી કરવા અપીલ કરવામાં આવી છે.
ગોધરામાં ડૉ. અપેક્ષા શર્માના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ ૩૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પંચમહાલ જિલ્લા શાખા ગોધરા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આ વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ ગોધરા સ્થિત રેડક્રોસ સોસાયટી ખાતે યોજાયો હતો. રક્તદાતાઓના ઉત્સાહભર્યા સહયોગથી આ રક્ત એકત્રિત થયું. ડૉ. અપેક્ષા શર્માએ પોતાના જન્મદિવસની ઉજવણી સામાજિક જવાબદારીના ભાગરૂપે રક્તદાન દ્વારા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રક્તદાન એ માનવતાની સૌથી મોટી સેવા છે અને તેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવી શકાય છે. આ કાર્યક્રમમાં સોસાયટીના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયા પીડિત બાળકો અને અકસ્માત જેવી ઇમરજન્સી સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ થશે. રેડક્રોસ સોસાયટી પંચમહાલ શાખાએ આ આયોજનને સફળ બનાવવા માટે પ્રયાસો કર્યા હતા.
જેલની ઉંચી દીવાલો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જૂનાગઢ જિલ્લા જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ જડતી જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના કમ્પાઉન્ડમાંથી બે સિમકાર્ડ મળી આવ્યા છે. અમદાવાદ જડતી જેલની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેલની સુરક્ષાને વધુ મજબૂત કરવા અને કેદીઓ પાસે કોઈ વાંધાજનક વસ્તુઓ નથી તેની ખાતરી કરવા માટે આ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટીમ જ્યારે બેરેક નંબર 1 પાસે તપાસ કરી રહી હતી ત્યારે ત્યાંથી બે બિનવારસી સિમકાર્ડ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન મળી આવેલા બંને સિમકાર્ડ અલગ અલગ કંપનીના હોવાનું બહાર આવ્યું છે. આ સિમકાર્ડ જેલની અંદર કેવી રીતે પહોંચ્યા, કોણ લાવ્યું અને કયા કેદીઓ તેનો ઉપયોગ કરતા હતા તે અત્યારે તપાસનો વિષય બન્યો છે. આ મામલાને ગંભીરતાથી લઈને જેલ સત્તાધીશો દ્વારા જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસ હવે આ બંને સિમકાર્ડના સીડીઆર કઢાવવાની તજવીજ હાથ ધરી રહી છે. આ ડેટા પરથી એ જાણી શકાશે કે જેલની અંદર બેસીને કયા કયા નંબરો પર વાત કરવામાં આવી હતી અને આ કાર્ડનો માલિક કોણ છે.
માની લો કે તમે અમદાવાદના એસજી હાઈવે પર બેસીને નિફ્ટીના ઓપ્શન ટ્રેડ કરી રહ્યા છો કે સુરતના વરાછામાં બેસીને હિરાના સોદા કરી રહ્યા છો. એવામાં અચાનક તમને ખબર પડે કે તમે જે રૂપિયાને ડોલરમાં બદલવાની ગણતરી કરી રહ્યા છો તેની કિંમતો હવે અમેરિકા નહીં પણ ખાડી વિસ્તાર રિયાધ કે ચીનના બેઈજિંગથી નક્કી થશે. જાણીને નવાઈ લાગશે પણ 2024 પછી આ નવી શરૂ થયેલી નરેન્દ્ર મોદીની સર્જિકલ સ્ટ્રાઈક જેવી ડોલર સામેની ઈકોનોમિક સર્જિકલ સ્ટ્રાઈક છે. જેમાં ભારત અને દુનિયાના અન્ય દેશો હવે ડોલરની દાદાગીરી સામે પોતાનું ચલણ ઉભું કરી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકાએ પેટ્રો ડોલરના જોરે આખી દુનિયાના ધંધા પર દાદાગીરી કરી. પણ અમેરિકાના પેટ્રો ડોલરનો પાયો હવે હચમચી ગયો છે. સાઉદી અરેબિયા હવે આ ઔપચારિક સમજૂતીથી આગળ વધવાની વાત કરી રહ્યું છે. જેના કારણે અમેરિકાને પોતાના ડોલર એકાધિકાર મામલે ફાળ પડી છે. આપણને થાય કે તો તેનાથી મારે શું? તો સાંભળો! આ પેટ્રોડોલરની સીધી અસર આપણા ખિસ્સા, ઘરના રાશન અને ધંધા પર પડવાની છે. આ તેલનું રાજકારણ નથી આ કરન્સી વોર છે. માટે જ અમેરિકાએ વેનેઝુએલાના તેલના કૂવાઓ પર ખેલ પાડી દીધો છે. માટે આજે વિસ્તારે વાત કરીએ પેટ્રો ડોલર અને નવી ઉભી થતી કરન્સીઓ વિશે. નમસ્કાર.... અમેરિકા આજે 38.4 ટ્રિલિયન ડોલરના દેવા નીચે દબાયેલું છે. આ આંકડો અમેરિકાના કુલ જીડીપીના 124% થી પણ વધુ છે. તેનો અર્થ એ કે અમેરિકા જેટલું કમાય છે તેના કરતા સવા ગણું તો તેના પર દેવું છે. આ દેવાનું વ્યાજ ચૂકવવા માટે જ તેણે દર વર્ષે અબજો ડોલરના નવા બોન્ડ્સ બહાર પાડવા પડે છે, જે દુનિયાના દેશો ત્યારે જ ખરીદશે જો ડોલરનું ડોમિનન્સ ટકી રહે. તેલ નહીં પણ ડોલર માટે વેનેઝુએલાનો ખેલ પાડ્યો આપણે બધા જ જાણીએ છીએ કે તેલનો વેપાર ખાલી ડોલરમાં જ થાય છે. પણ હવે તે અમેરિકા-સાઉદીવાળી પેટ્રો ડોલરની ઔપચારિક સમજૂતી નથી રહી. સાઉદીએ હવે આ પરંપરાગત સમજૂતીથી આગળ વધીને નવા વિકલ્પો શોધવાનું નક્કી કર્યું છે. સાઉદી અને અમેરિકા વચ્ચે પેટ્રોડોલર વેપાર જ નહીં થાય તેવું પણ નથી. સાઉદી માત્ર વિકલ્પો શોધી રહ્યું છે. જો દુનિયા તેલ ખરીદવા માટે ડોલરનો ઉપયોગ જ બંધ કરી દે તો અમેરિકા પાસે પોતાના દેવા ચૂકવવાનો કોઈ રસ્તો જ નહીં રહે. માટે જ હમણા નવા વર્ષે અમેરિકાએ વેનેઝુએલાને પોતાનું નવું મોહરું બનાવ્યું છે. કારણ કે વેનેઝુએલા પાસે સાઉદી અરેબિયા કરતા પણ વધુ તેલ છે. હવે આ આખી વાતને આપણે 100 ટકા સમજવા માટે 1974ના ફ્લેશબેકમાં જવું પડશે. થયું કંઈક એવું હતું કે 1971માં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ડોલરને ગોલ્ડ સ્ટાન્ડર્ડથી અલગ કરી દીધો. જેના કારણે ડોલર માત્ર કાગળનો ટુકડો બની ગયો. પણ ત્યારના અમેરિકાના ચાણક્ય હેનરી કિસિંજરે સાઉદી અરેબિયાના શાહ સાથે એક ગુપ્તો સોદો પાડી દીધો. જો કે તે કોઈ ઓફિશિયલ સોદો ન હતો અને ચોક્કસ સમયસીમા પણ ન હતી. પેટ્રોડોલરનો સોદો શું હતો? અમેરિકાએ સાઉદી અરેબિયાને કહ્યું કે, “તમે તમારું ઓઇલ 50 વર્ષ સુધી માત્ર ડોલરમાં જ વેચો. બદલામાં અમે તમને હથિયાર અને સૈન્ય સુરક્ષા આપીશું.” સાઉદીએ અમેરિકાને તમાચો માર્યો આ કંઈ ખોટનો ધંધો તો હતો નહીં! માટે સાઉદી માની ગયું. જેના કારણે દુનિયાના દરેક દેશને ફરજિયાત ડોલર ખરીદવા પડ્યા. કારણ તો આપણે બધા જાણીએ જ છીએ, કે પેટ્રોલ-ડીઝલ વગર તો કોઈ દેશ ચાલે એમ જ નથી. આ સોદાનું નામ જ હતું પેટ્રો ડોલર. જેના કારણે અમેરિકા દુનિયાનો સૌથી મોટો પૈસાવાળો વેપારી દેશ બની ગયો. પણ... પણ... પણ... વર્ષ આવ્યું 2024. સાઉદી અરેબિયાએ કહી દીધું કે અમે મલ્ટીપોલર બનીશું. સાઉદી પેટ્રોડોલરથી ઉપર ઉઠ્યું. માત્ર ડોલરમાં જ નહીં પણ ચીની યુઆન, રશિયાના રૂબેલ અને ભારતના રૂપિયામાં અને ડિજિટલ કરન્સીમાં પણ તેલ વેચવાનું શરૂ કરી દીધું. આ તો અમેરિકાના ગાલ પર સાઉદીનો તમતમતો તમાચો હતો. સાઉદી બેવફા તો વેનેઝુએલાને પકડ્યું! પણ અમેરિકા પણ કંઈ ઓછું નથી. સાઉદી બેવફા થયું તો તેણે સમુદ્રી લુટેરા જેક સ્પેરોની જેમ દુનિયાના સૌથી મોટા તેલ રિઝર્વ દેશ શોધવાનું શરૂ કર્યું. ત્યારે અમેરિકાની નજર દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલા પર પડી. વેનેઝુએલા પાસે સાઉદી અરબ કરતા પણ વધારે તેલ છે. પણ અમેરિકાના કમનસીબ કે ત્યાંના રાષ્ટ્રપતિ માદુરો તો અમેરિકાના વિરોધી નીકળ્યા. ડોલરના વર્ચસ્વ માટે અમેરિકાના ધમપછાડા પોતાની વાત મનાવવા માટે અમેરિકાએ વર્ષો સુધી વેનેઝુએલા પર જાત-જાતના પ્રતિબંધો મૂક્યા. અત્યારે વેનેઝુએલા ભૂખમરાંમાં છે તેની પાછળ પણ અમેરિકા જ જવાબદાર છે. અમેરિકાને પોતાની તેલ ભૂખ અને વિશ્વવલ્લભ બનવા માટે વેનેઝુએલામાં પોતાનું પ્યાદું બેસાડવું પડે તેમ જ હતું કારણ કે માદુરો તો અમેરિકાના વિરોધી હતા. તો વર્ષ 2026ના ન્યૂયર સમયે જ અમેરિકાએ વેનેઝુએલાનો ખેલ પાડી દીધો. યુનાઈટેડ નેશન્સના નિયમોને જ લાત મારીને અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને જ તેના દેશમાંથી ઉઠાવી લીધા. આનાથી સાબિત થયું કે અમેરિકા કોઈ પણ ભોગે તેલ સપ્લાય પર પોતાનો કન્ટ્રોલ જમાવી રાખવા માગે છે. ટૂંકમાં આટલી માહિતી પછી આપણને સમજાયું કે, અમેરિકાએ તેલ માટે નહીં પણ તે તેલ ડોલરમાં જ વેચાય તેના માટે ધમપછાડા કર્યા. ડોલરની મોનોપોલી માટે દુનિયાને ધમકી ચાલો, આ આખી ઘટનાને એક ગુજરાતી વેપારીની નજરે સમજીએ. ધંધામાં જ્યારે ગ્રાહક પક્ષ પલટો કરે ત્યારે શેઠ શું કરે? નવો ગ્રાહક શોધવા લાગે. આ ગ્રાહક એટલે સાઉદી, શેઠ એટલે અમેરિકા અને નવો ગ્રાહક એટલે વેનેઝુએલા. અમેરિકાએ ડોલરની મોનોપોલી જાળવી રાખવા માટે દુનિયાને ધાકધમકી આપી અને વેનેઝુએલા મામલે દુનિયાના કોઈ દેશોએ મોઢામાંથી એક શબ્દ પણ ન કાઢ્યો. હવે આ આખા મુદ્દાને આર્થિક, ભૌગોલિક અને રાજકીય નજરે જોઈએ. જો વેનેઝુએલાનું તેલ અમેરિકાના કંટ્રોલમાં આવે, તો તે ગ્લોબલ ઓઈલની પ્રાઈઝ 50 ડોલર સુધી નીચે લાવી શકે છે. આનાથી અમેરિકામાં તો મોંઘવારી ઘટશે જ, પણ બાકીની દુનિયાના તેલ ઉત્પાદક દેશો જેમ કે સાઉદી એ પાયમાલ થઈ જશે. તેલ સસ્તું થાય તો પેટ્રોલ કેટલું સસ્તું? હાલ એક બેરલ ક્રુડ ઓઈલની કિંમત 60 ડોલર આસપાસ છે. SBIની રિસર્ચ મુજબ જૂન 2026 સુધીમાં ક્રુડ ઓઈલની પ્રાઈઝ પર બેરલ 50 ડોલર જઈ શકે છે. જો આવું થાય તો બીજું કે, વેનેઝુએલા અમેરિકાથી ખૂબ નજીક છે. ગલ્ફ દેશોમાંથી તેલ લાવવા કરતાં વેનેઝુએલાથી તેલ લાવવું લોજિસ્ટિક્સના એંગલથી અમેરિકાને ખૂબ સસ્તું પડી શકે. આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બચાવીને અમેરિકા પોતાની કંપનીઓને નફો કરાવી શકે છે. વેનેઝુએલામાં રશિયા-ચીનના પૈસા ડૂબ્યાં ત્રીજો મુદ્દો એ કે, ચીન અને રશિયાએ વેનેઝુએલામાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. કારણ કે આ ત્રણેય દેશો અમેરિકા વિરોધી છાપ ધરાવે છે. જો અમેરિકા વેનેઝુએલામાં કબજો જમાવે તો રશિયા અને ચીનના પૈસા ડૂબી જાય. ટૂંકમાં અમેરિકાએ એક કાંકરે ત્રણ નિશાન સાધ્યાં. BRICS સામે અમેરિકાનું દબાણ પેટ્રો ડોલર ડીલ પૂરી થયા પછી ઘણા લોકોનું માનવું છે કે ડોલરનું ડેથ નક્કી છે. પણ અમેરિકા અમેરિકા છે. BRICSના દસ દેશો એટલે કે બ્રાઝીલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા વગેરેએ બ્રિક્સ કરન્સીની જાહેરાત કરી જેથી ડોલરને નબળો પાડી શકાય. પણ અમેરિકાએ પૂરું જોર લગાવ્યું કે આવું ન થાય. ભારત સાથે આ દેશો ડોલરની જગ્યાએ રૂપિયામાં ક્રુડ ઓઈલ વેચી રહ્યા છે અથવા પેટ્રો ડોલર સિવાયની સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. બ્રિક્સ કરન્સી મામલે હજુ પણ વિચારણા પણ બ્રિક્સ દેશોની કોમન કરન્સીની જાહેરાત હકીકતમાં સક્સેસમાં નથી ફેરવાઈ. અહીં પણ કોમન કરન્સી અને પોતાના દેશની કરન્સી મામલે બ્રિક્સ દેશોમાં મતભેદો છે. આ જોઈને અમેરિકાએ બ્રિક્સ દેશોને પણ ધમકી આપી દીધી કે જો તમે ડોલર સિવાયના નવા ચલણમાં વેપાર કરશો તો અમે તમને ટેરિફના ડુંગર નીચે દબાવી દેશું. જો આવું થાય તો અમેરિકાની ડોલર દાદાગીરી સામે કેવી રીતે જંગ લડાશે તે જોવાનું રહેશે. IMF-IEAનો રિપોર્ટ વૈશ્વની બેંકોમાં ડોલરનું પ્રમાણ 70%થી ઘટીને 58% પર આવી ગયું છે. RBIએ પણ રૂપિયામાં વેપાર કરવા 18થી વધુ દેશો સાથે જોડાણ કર્યું છે. ડોલર ડોમિનન્સી સામેની આ લડાઈથી અમેરિકાને ફફડે છે. ડોલર સામે દુનિયાની લડાઈ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એટલે કે IEA અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFના તાજેતરના અહેવાલો મુજબ, વૈશ્વિક કેન્દ્રીય બેંકોમાં ડોલરનું પ્રમાણ 70% થી ઘટીને 58% પર આવી ગયું છે. ભારતની રિઝર્વ બેંક RBI પણ હવે રૂપિયામાં વેપાર કરવા માટે 18 થી વધુ દેશો સાથે જોડાણ કરી ચૂકી છે. ટૂંકમાં ડોલર ડોમિનન્સી સામેની લડાઈની શરૂઆત સારી થઈ છે. આના કારણે અમેરિકા હવે ડરમાં છે. તેલ માટે ડોલર નહીં ચૂકવવા પડે કારણ કે જૂન 2024માં સાઉદી અરેબિયા પ્રોજેક્ટ mBridge માં જોડાયું છે. આ એક એવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે અમેરિકાના કંટ્રોલ વાળી SWIFT સિસ્ટમને બાયપાસ કરે છે. સાવ સાદી રીતે સમજાવું તો, આ એક એવો હાઈવે છે જેમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે ટોલ ટેક્સ તરીકે ડોલર ચૂકવવો નહીં પડે. આ પ્લેટફોર્મ પર સાઉદી, ચીન, UAE અને હોંગકોંગ સીધા જ પોતાની ડિજિટલ કરન્સી (CBDC) માં સોદા કરી શકશે. તેલ અને દુનિયાનો ખેલ જ્યારે વોશિંગ્ટનમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારે છે અથવા વેનેઝુએલા પર પ્રતિબંધ મુકે છે, ત્યારે તેની અસર વડોદરાના એક મધ્યમ વર્ગના માણસના હોમ લોનના હપ્તા EMI પર પણ પડે છે. ડોલર મજબૂત થાય તો આપણો રૂપિયો નબળો પડે, રૂપિયો નબળો પડે એટલે આયાતી સામાન જેમ કે ખાવાનું તેલ અને ક્રૂડ મોંઘું થાય, અને અંતે તમારા રસોડાનું બજેટ ખોરવાય. આને કહેવાય ગ્લોબલ ફિનાન્સિયલ ઈન્ટરકનેક્ટિવિટી'. ગુજરાત પર થનાર અસરોની વાત કરીએ તો ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે અને તેલ ડોલરના યુદ્ધમાં ગુજરાત આગળ છે. વેનેઝુએલાનું હેવી ક્રુડ રિલાયન્સ અને નાયરા જેવી રિફાઈનરી માટે અમૃત સમાન કહી શકાય. જો અમેરિકા વેનેઝુએલા પર દબાણ કરે અને ભારતને તેલ લેતા રોકે તો દેશની અને ગુજરાતની રિફાઈનરીના માર્જિન પર સીધો ફટકો પડે. સુરતના હિરા કારખાનેદારને નફા પર પણ અસર થતાય. કુદરતી ગેસના ભાવ વધે તો મોરબીના સિરામિક ઉદ્યોગને પણ અસર પડી શકે. આ બધાની અસર ગુજરાતની ફાર્મા અને કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ પર પણ પડી શકે. વિશ્વના બે આર્થિક ટુકડાં થઈ શકે ત્યારે સવાલ થાય કે અમેરિકાની આર્થિક દાદાગીરી સામે હવે શું થશે? મને લાગે છે કે બની શકે કે ભવિષ્યના સમયે આ મામલે વિશ્વના બે આર્થિક ટુકડા થતા જોવા મળે. એકબાજુ અમેરિકા યુરોપ જેવા ડોલર બ્લોક દેશો અને બીજી બાજુ બ્રિક્સ જેવા દેશોનું કોમોડિટી બ્લોક ઉભું થઈ શકે. ભારત બે પથ્થર વચ્ચે ફસાયું ભારત જશે કોમોડિટી બ્લોક તરફ પણ જો ભારત ચાલાકીથી કામ લે, તો તે બંને બ્લોક વચ્ચે બ્રિજ પણ બની શકે છે અને રૂપિયાને બંને બાજુંનું એક સ્ટેબલ પણ ચલણ બનાવી શકે છે. માટે ભારત અત્યારે બે પથ્થર વચ્ચે છે, એકબાજુ રશિયા સાથે દોસ્તી અને બીજી બાજુ અમેરિકા સાથેનો મસમોટો વેપાર. પણ જો આપણે અમેરિકાના ટેરિફ વોરમાં ફસાઈ ગયા, તો આપણી નિકાસને મોટો ફટકો પડી શકે છે. માટે હવે દુનિયા અમેરિકા અને યુરોપ જેવા G7 દેશોની મનમાની નથી સહન કરી રહ્યું. દુનિયા હવે બ્રિક્સ બ્લોક તરફ આગળ વધી રહી છે. બંનેની કમ્પેરિઝન કરીએ તો અને છેલ્લે.... અમેરિકાએ કહ્યું છે કે તે વેનેઝુએલાનું તેલ ભારતને વેચશે, ટ્રમ્પની મોટી ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત થયા બાદ આ નિવેદન સામે આવ્યું છે. જોવા જેવી વાત તો એ છે કે વેચાણનો નફો અમેરિકા કન્ટ્રોલ કરશે. આ કરવા માટે ટ્રમ્પે વેનેઝુએલામાં 9 લાખ કરોડના રોકાણની પણ યોજના બનાવી છે. આ તેલ ખરીદવા માટે રિલાયન્સ પણ લાઈનમાં લાગ્યું છે. પણ અમેરિકાએ એ ન ભૂલવું જોઈએ કે સત્તાનો અહંકાર અને વર્ચસ્વ કાયમી નથી. શક્તિશાળી રોમન સામ્રાજ્યના સિક્કા હાલ મ્યુઝિમમાં ધૂળ ખાતા જોવા મળે છે. જે ગવાહ છે કે વર્ચસ્વ કાયમી નથી રહેતું. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
પોરબંદર ST ડેપોના અધિકારીએ iPhone પરત કર્યો:વિદ્યાર્થીનો રૂ. 1.20 લાખનો ફોન મૂળ માલિકને સુપરત કરાયો
પોરબંદર એસ.ટી. ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે એસ.ટી. બસમાં રહી ગયેલો રૂ. 1,20,000 કિંમતનો આઈ-ફોન 13 પ્રો તેના મૂળ માલિક, એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીને સન્માનપૂર્વક પરત કર્યો છે. આ ઘટનાની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. આ ઘટના આજે બની હતી. વનાણા સ્થિત મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભૂતિયા કિશને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે તાલીમ પૂર્ણ કરી એસ.ટી. બસ મારફતે મેડિકલ કોલેજ પરત ફર્યા હતા. મેડિકલ કોલેજ ખાતે ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેમનો કિંમતી આઈ-ફોન ક્યાંક ખોવાઈ ગયો છે. તે જ સમયે, એસ.ટી. ડેપોના વર્કશોપમાં નિયમિત તપાસ દરમિયાન એક બસમાંથી આઈ-ફોન મળી આવ્યો હતો. વર્કશોપના કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતની જાણ સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને કરી હતી. સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણીએ અન્ય તમામ કામગીરી બાજુએ રાખી તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ ડીન ડો. મયંક જાવિયા સાથે સંપર્ક સાધી, બસમાંથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો મોબાઇલ મળી આવ્યો હોવાની જાણ કરી હતી. તેમણે યોગ્ય આધાર પુરાવા સાથે મૂળ માલિકને મોબાઇલ લઈ જવા સૂચના આપી હતી. આ બાદ ખાતરી થતાં કે મોબાઇલ એમ.બી.બી.એસ. ફાઇનલ વર્ષના વિદ્યાર્થી ભૂતિયા કિશન હિતેશભાઈનો જ છે, ત્યારે સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ વિદ્યાર્થીને પોરબંદર એસ.ટી. ડેપો ખાતે બોલાવ્યા. તમામ ચકાસણી પૂર્ણ કરી, તેમનો રૂ. ૧,૨૦,૦૦૦/- કિંમતનો આઈ-ફોન ૧૩ પ્રો સન્માનપૂર્વક પરત કર્યો હતો. સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણી દ્વારા દાખવવામાં આવેલી આ પ્રમાણિકતા અને માનવતાભરી કામગીરીને લઈને મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોમાં વ્યાપક પ્રશંસા જોવા મળી રહી છે. આ ઘટના એસ.ટી. તંત્રની વિશ્વસનીયતા અને કર્મચારીઓની ફરજ નિષ્ઠાનું જીવંત ઉદાહરણ બની છે. આ પ્રસંગે પોરબંદર એસ.ટી. ડેપોના ડેપો મેનેજર પી.બી. મકવાણા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વર્કશોપના ફરજ નિષ્ઠ કર્મચારીઓ અને સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને અભિનંદન પાઠવી ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રવિવારે રાત્રે માત્ર ગુટખા ખાવા જેવી નાની બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોપી કમલાકાર ઉલે અને યસ શિંદે ગુટખા ખાવા બાબતે અન્ય લોકો સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન ફરિયાદી રાહુલ પાટીલ વચ્ચે પડી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદમાં લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. વચ્ચે પડનાર યુવક અને તેના કાકા પર આરોપીઓ તૂટી પડ્યાઝઘડા દરમિયાન જ્યારે રાહુલ પાટીલે તેના કાકા રામકૃષ્ણ પાટીલને મદદ માટે બોલાવ્યા ત્યારે બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે, આ વિવાદ ત્યાં જ ન અટક્યો. થોડીવાર પછી જ્યારે મૃતક રામકૃષ્ણ પાટીલ અને રાહુલ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે બંને આરોપીઓ સજ્જ થઈને ચપ્પુ સાથે તેમના ઘરે ધસી આવ્યા હતા. આવેશમાં આવીને આરોપીઓએ રામકૃષ્ણ પાટીલ પર ચપ્પુના ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાકાનું કરુણ મોતજ્યારે રામકૃષ્ણ પાટીલ પર હુમલો થયો ત્યારે તેમને બચાવવા માટે રાહુલ પાટીલ ફરી વચ્ચે પડ્યો હતો. આ હુમલામાં આરોપીઓએ રાહુલને પણ ચપ્પુના ગંભીર ઘા માર્યા હતા અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ રામકૃષ્ણ પાટીલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે રાહુલ પાટીલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડીંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં બે હત્યારાઓની કરી ધરપકડઆ હત્યાના બનાવને પગલે ડીંડોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓ, કમલાકાર ઉલે અને યસ શિંદેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બંને આરોપીઓ ની ધરપકડ કરી હતી.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પાટણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે બેઠક યોજાઈ:કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને આયોજનની ચર્ચા
પાટણ જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી, 2026) ની જિલ્લા કક્ષાની ઉજવણીના સુચારુ આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, પાટણના નવા કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. કલેક્ટર તુષાર ભટ્ટે બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સમી તાલુકાના બી.એચ. દવે વિદ્યાસંકુલ પાછળના મેદાન ખાતે યોજાશે. કલેક્ટરે કાર્યક્રમને સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને જનભાગીદારી સાથે સફળ બનાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. બેઠકમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા અને આમંત્રિત મહેમાનોની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીને ગૌરવભેર ઉજવવા અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, DRDA નિયામક આર.કે. મકવાણા, પાટણ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગિરનાર જંગલની સરહદે આવેલા જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં વનરાજોનો વસવાટ હવે સામાન્ય બની રહ્યો છે. ખોરાકની શોધમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ અવારનવાર રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. હાલ સોશિયલ મીડિયામાં જૂનાગઢની વાણંદ સોસાયટીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહણ શિકારની મિજબાની માણી રહી છે, પરંતુ ગાયના વળતા પ્રતિકારને કારણે સિંહણે ત્યાંથી ભાગવું પડ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વાણંદ સોસાયટીમાં એક સિંહણે મારણ કર્યું છે અને તે આરામથી શિકાર આરોગી રહી છે. આ દરમિયાન અચાનક જ એક ગાય સિંહણ પર દોટ મૂકે છે. ગાયને સામે આવતી જોઈ સિંહણ ડરી જાય છે અને શિકાર છોડીને ત્યાંથી રવાના થઈ જાય છે. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ગિરનાર જંગલની સાવ નજીક આવેલી વાણંદ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે સિંહો ખોરાક માટે સોસાયટીઓમાં ઘૂસી આવતા હોવાથી લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી સાબિત થાય છે કે જંગલના રાજા હવે માનવ વસ્તી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.થોડા દિવસો પહેલા જ ગિરનાર તરફ જતા ભવનાથ રોડ પર પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં એક સિંહ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક કાર આવી પહોંચી હતી. કાર ચાલકે સમયસૂચકતા વાપરી સજ્જડ બ્રેક મારતા સિંહનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વીડિયો બાદ વન વિભાગ પણ સતર્ક બન્યું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યારે પણ સિંહ રહેણાંક વિસ્તારમાં હોવાની જાણ થાય છે ત્યારે તાત્કાલિક વનકર્મીઓની ટીમ સ્થળ પર પહોંચી જાય છે અને સિંહને સુરક્ષિત રીતે જંગલના વિસ્તારમાં પાછો ખસેડવાની કામગીરી કરે છે. વન વિભાગ દ્વારા લોકોને પણ સાવચેત રહેવા અને રાત્રિના સમયે સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં ગઈકાલે કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલ ક્રિકેટ મેચ દરમ્યાન ચોરાયેલ મોબાઈલની ચોરી કરનાર ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રેલવે સ્ટેશન અને મેદાનમાંથી ચોરી કરનાર ઉત્તરપ્રદેશના ત્રણ ઈસમોને ઝડપી પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. યુપીના અલીગઢની ત્રિપુટી પાસેથી ચોરીના 9 મોબાઈલ મળ્યાસયાજીગંજ પોલીસે ઉત્તરપ્રદેશના અલીગઢની ત્રણ સભ્યોની ગેંગને બાતમીના આધારે મોબાઈલ વેચે અને ફરાર થાય તે પહેલા જ ઝડપી પાડી હતી. આ ઈસમોએ વડોદરા રેલ્વે સ્ટેશન અને કોટાંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ ગેંગ પાસેથી કુલ 9 મોબાઈલ મળી આવ્યા છે, જેની કિંમત આશરે રૂ. 5,09,000 છે. મેચની ભીડનો લાભ લઈ મોબાઈલ ફોન સેરવી લીધા હતાસયાજીગંજ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીદાર પાસેથી માહિતી મળી કે, સયાજીગંજ ધ કોર્નર શોપ મેડિકલ સામે જમવાની લારી પાસે ત્રણ વ્યક્તિઓ ચોરીના મોબાઈલ વેચવા માટે ઊભા છે. આ બાતમીના આધારે તાત્કાલિક તપાસ કરતા ત્યાં ત્રણ ઈસમો દેખાયા હતા. બાદમાં પોલીસે તેઓની અંગઝડતીમાં અલગ-અલગ કંપનીના કુલ 9 મોબાઈલ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે, તેમાંથી એક મોબાઈલ ફોન સયાજીગંજ રેલ્વે સ્ટેશનના ઇન-ગેટ સામે આવેલા શોપિંગ સેન્ટર પાસેની રજવાડી ચાની દુકાનમાંથી ચોરી કર્યો હતો. બાકીના મોબાઈલ ફોન્સ ગઈકાલે કોટાંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન પ્રેક્ષકોની ભીડનો લાભ લઈને ચોરી કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામઆ કાર્યવાહીમાં પોલીસે સુબુર ફાયક પઠાણ (રહે. હમદર્દનગર, સેક્ટર બી, ફાતીમા સ્કૂલ પાસે, તા. કોલ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ ), ખાલીદ નિયાઝ મેવાતી (રહે. મ.નં. 2/4, ઔરંગાબાદ ટાઉનશીપ, મેવાતી મહોલ્લા, તા.જિ. મથુરા, ઉત્તરપ્રદેશ ), રાશીદ શમસાદ નાઈ (હાલ રહે. મ.નં. ૨6, જમાલપુર ફાટક, બીજલઘર પાસે, તા. બંદાદેવી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ (મૂળ રહે. ગામ બડકલી ચોરા, બાંગલપુર, જિ. પટના, બિહાર) ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરની નરોડા પોલીસ મુઠીયા ગામમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી, ત્યારે આરોપી બુટલેગરના બે કુખ્યાત ભાઈઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં રહીશોની ગાડીઓના કાચ તૂટ્યા હતા. ઉપરાંત બંનેએ તેના બુટલેગર ભાઈને પોલીસની ફરજમાં અડચણ કરીને ભગાડી મુક્યો હતો. આ અંગે નરોડા પોલીસે કુલ ચાર આરોપી સામે ગુનો નોંધીને પથ્થરમારો કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પકડવા જતાં આરોપીઓ ભાગ્યાનરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ અન્ય પોલીસકર્મીઓ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અનીલ ઉર્ફે કાલી સોલંકી મુઠીયા ગામના મેદાનમાં હાજર છે. જેથી પોલીસકર્મીઓ તેને પકડવા મુઠીયા ગામે પહોચ્યા ત્યારે અનિલ અને તેની સાથે રહેલો શખસ ગાડી લઈને ભાગવા લાગ્યો હતો. પોલીસના પીછો કરવાથી તે ગાડી મૂકીને ગલીઓમાં ભાગી ગયો હતો. જેથી પોલીસકર્મીઓ તેને પકડવા તેની પાછળ દોડ્યા હતા. પથ્થરમારો કરતા બે આરોપીને ઝડપી પાડ્યાઆ દરમિયાન અનિલના ભાઈઓ જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદિપ ઉર્ફે પદીયો ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં રસ્તા પર પાર્ક કરેલી કેટલાકી રહીશોની ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી બાદ પોલીસે જીગ્નેશ અને પ્રદિપ સોલંકીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા બે આરોપીઓએ પોલીસકર્મીઓને ધમકાવ્યાપકડાયેલા આરોપીઓએ પોલીસ કર્મચારીઓને ધમકાવતા જણાવ્યું હતું કે, તેમના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે અને તેમને પોલીસનો કોઈ ડર નથી. આરોપીઓએ બહારથી દારૂનો મોટો જથ્થો લાવીને બહારની એજન્સીની રેડ પડાવીને ઉચ્ચ અધિકારીઓ પાસે પીઆઇ અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાવવાની અને તેમનું કરિયર ખરાબ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે પોલીસે આરોપીઓની ગાડી અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી સહિત બે લોકો ફરારજોકે મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાલી અને તેની સાથેનો એક અજાણ્યો શખસ ભાગવામાં સફળ રહ્યા હતા. આ અંગે નરોડા પોલીસે આરોપીને ભગાડવામાં મદદ કરનાર જીગ્નેશ ઉર્ફે જીગો બળદેવભાઇ સોલંકી અને પ્રદિપ ઉર્ફે પદીયો બળદેવભાઇ સોલંકી અને અનિલ તથા એક અજાણ્યા શખસ સામે ગુનો નોધીને જીગ્નેશ અને પ્રદિપની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમહત્વનું છે કે, પકડાયેલા આરોપી જીગ્નેશ સામે અગાઉ પોલીસ પર હુમલો, મારામારી અને પ્રોહિબિશન સહિતના 40 ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે. તેમજ ચાર વખત પાસાની સજા ભોગવી ચૂકેલો છે. ત્યારે પ્રદિપ સામે અગાઉ પોલીસ પર હુમલા સહિત કુલ 18 ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે.
ગીરના જંગલ વિસ્તારની બોર્ડર પર આવેલા ઉના તાલુકાના ઝુડવડલી ગામમાં સિંહોનો વસવાટ વધતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉના શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલા આ ગામની સીમમાં આજે દિવસે જ 2 સિંહણ, 2 પાઠડા અને 2 સિંહ બાળ સહિત કુલ 6 સિંહોનો પરિવાર શિકારની શોધમાં લટાર મારતો જોવા મળ્યો હતો. સિંહોના આ પ્રકારે મુક્ત વિચરણને કારણે વાડી માલિકો અને શ્રમિકોમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે. શ્રમિકોમાં ભય અને પાકને નુકસાનદિવસના સમયે સિંહોની હાજરી હોવાથી વાડીઓમાં કામ કરતા શ્રમિકો ખેતરે આવતા ડરી રહ્યા છે, જેના કારણે ખેતીકામ પર માઠી અસર પડી રહી છે. બીજી તરફ, સિંહ આવ્યા હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં 'સિંહપ્રેમીઓ' પોતાના કાર અને બાઈક લઈને ખેતરોમાં ઘૂસી જાય છે. આ બિનજરૂરી અવરજવરને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે, જે ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જી રહ્યું છે. વન વિભાગ પાસે પેટ્રોલિંગની માગઝુડવડલી વિસ્તાર છેલ્લા ઘણા સમયથી સિંહો માટે કાયમી રહેઠાણ જેવો બની ગયો છે. જોકે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ સિંહોનો ચોક્કસ વિસ્તાર નિર્ધારિત ન હોવાથી ઘણીવાર ટ્રેકિંગમાં મુશ્કેલી પડે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નિયમિત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવે. માનવ-સિંહ સંઘર્ષ ટાળવા જરૂરી પગલાંખેડૂતોના જણાવ્યા અનુસાર, જો વન વિભાગ આ વિસ્તારમાં ચોકસાઈ વધારે તો સિંહ અને માનવ બંનેની સુરક્ષા જળવાઈ રહેશે. સિંહ દર્શનના નામે ખેતરોમાં ઘૂસી આવતા તત્વો પર રોક લગાવવી પણ અનિવાર્ય બની છે જેથી કોઈ મોટી દુર્ઘટના કે સંઘર્ષની સ્થિતિને ટાળી શકાય.
ભરૂચ જિલ્લામાં ઉતરાયણ માટે 108 સેવા સજ્જ:140 કર્મચારીઓ 34 એમ્બ્યુલન્સ સાથે તૈનાત રહેશે
ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન ઊભી થતી તાત્કાલિક પરિસ્થિતિઓને પહોંચી વળવા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ છે. 14 અને 15 જાન્યુઆરી, 2026 દરમિયાન જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ સતત કાર્યરત રહેશે. આ સેવાઓમાં આશરે 140 જેટલા ડ્રાઈવર, ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે. આ વિશેષ આયોજનનો હેતુ ઝડપી પ્રતિસાદ અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે ઉતરાયણ દરમિયાન સામાન્ય દિવસોની તુલનામાં ઈમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થાય છે. ખાસ કરીને માર્ગ અકસ્માત, છત પરથી પડી જવાની ઘટનાઓ, પતંગની દોરીથી કપાઈ જવાના બનાવો તેમજ અન્ય ટ્રોમા કેસોમાં વૃદ્ધિ જોવા મળે છે. આ અંગે પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે, 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરીને જવાબદારીપૂર્વક ઉતરાયણ ઉજવવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ તાત્કાલિક ઈમરજન્સી પરિસ્થિતિમાં વિલંબ કર્યા વગર તરત જ 108 પર સંપર્ક કરવા જણાવાયું છે, જેથી ઉતરાયણનો તહેવાર સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે.
29 ઓક્ટોબર 2025ના રોજ શહેરના મંગળા રોડ પર જૂની અદાવતમાં પેંડા અને મુર્ગા ગેંગ દ્વારા સામસામે સરાજાહેર ફાયરિંગ કેસમાં ફાયરિંગ કરી મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરનો સંજય ઉર્ફે સંજલો મોરબી પહોંચ્યો હતો જ્યાં તેને આશરો ઇમરાન ઈકબાલ જેડા નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવતા ઇમરાન ઈકબાલ જેડા (ઉ.વ.32)ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં પકડાયેલ શખ્સે સંજય ઉર્ફે સંજલાને મોરબીમાં બે દિવસ આશરો આપ્યો હોવાનું સામે આવતા વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે પેંડા અને મુર્ગા ગેંગના કુલ 35 આરોપીની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. સોનીબજારમાં ચાંદીના વેપારી સાથે મહારાષ્ટ્રના દેવીલાલની 13.50 લાખની ઠગાઇ અમીન માર્ગ પર રહેતા અને ખત્રીવાડમાં આરકે હાઉસ નામના બિલ્ડીંગમાં આરકે સિલ્વર નામે પેઢી ચલાવતાં રણજીતભાઈ ખેંગારભાઈ વાઢેર (ઉ.વ.58)એ એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહારાષ્ટ્ર સાંગલીના આષ્ટાગામના દેવીલાલ વાધરામ માલી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમની પેઢીમાં તેઓની સાથે અન્ય ત્રણ ભાગીદાર છે. મહારાષ્ટ્ર સાંગલીના દેવીલાલ માલી કે જેને તેના ગામમાં અર્બુદા સીલ્વર જવેલર્સ નામે દુકાન છે તેની સાથે છેલ્લા 5 વર્ષથી ચાંદીના હોલસેલ દાગીના ઓર્ડર મુજબ આપવાનો વેપાર કરે છે. દાગીના મળ્યે સમયસર રૂપીયા આપી દિધા હતાં. દેવીલાલ માલીને તા.20.05.2024ના 18 કીલો 104 ગ્રામ ચાંદીના અલગ-અલગ દાગીના રૂ.8.06નો ઓર્ડર લખાવેલ તેના રૂ.4.22,400 પેઢીના ખાતામાં જમા કરાવ્યા હતા જેથી કુરીયર મારફત ઓર્ડર મુજબ ચાંદીના દાગીના મોકલાવેલ હતાં. બાદ નવા ઓર્ડર મુજબ 17 કીલો 847 ગ્રામ ચાંદીના અલગ અલગ દાગીના રૂ.9,65,908ના મોકલ્યા હતા. તેઓએ થોડા દિવસમાં આ બીલના તથા અગાઉના બીલના પૈસા આપી દઈશ તેમ વાત કરી હતી પરંતુ પૈસા આપ્યા ન હતા જેને લઇ કુલ રૂ.13,49,197 આજ સુધી પરત ન આપતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાર્ટ એટેકથી યુવકનું મોત નીપજ્યું બહાદુર ખત્રી (ઉં.વ.30) સવારે 8.30 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે કાર સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. ખેમ બહાદુર બે ભાઈમાં નાનો હતો તે એપાર્ટમેન્ટમાં ચોકીદારનું કામ કરતો ઉપરાંત કાર સાફ કરવાનું કામ પણ કરતો હતો નેપાળી યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયા હોવાનું સામે આવ્યું છે. પતંગ લૂંટવા જતા 11 વર્ષનો બાળક છાપરા પરથી જમીન પર પટકાયો સલમાન યુનુસભાઈ શેખ (ઉં.વ.11) આજે બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે પહેલા માળ જેટલી ઊંચાઈના છાપરા પરથી પડી જતા પગે, શરીરે, મોઢે ઇજા પહોંચી હતી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સલમાનના પિતા મજૂરી કામ કરે છે. સલમાન કટ થયેલી પતંગને લૂંટવા માટે તેના ઘર નજીકની શેરીમાં આવેલા એક મકાનના છાપરા ઉપર ચડ્યો હતો અને ત્યાંથી જમીન પર પટકાયો હતો હાલ તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
ભાવનગર મહાનગર પાલિકા ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કિમીટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટી ના હોલ ખાતે ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના 41 ઠરાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે આ કામો અંતર્ગત શહેરમાં આધુનિક ફૂડ પાર્ક, સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર અને રસ્તા-ડ્રેનેજ જેવા પાયાના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે, જેમાં કુલ 29 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ મળેલ સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં વિવિધ સરકારી ગ્રાન્ટ હેઠળ અંદાજીત રૂ.29.04 કરોડના ખર્ચના 41 જેટલા મહત્વના કામોને મંજૂરી આપવામાં આવી છે, આ મંજૂર થયેલા કામોમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ ઘોઘા સર્કલ વિસ્તારમાં પ્લોટમાં આશરે રૂ. 6.28 કરોડના ખર્ચથી બનનાર ફૂડ પાર્ક/ફૂડ સ્ટ્રીટ છે આ ઉપરાંત, શહેરના રાજકોટ રોડ પર આવેલા ફ્લાયઓવરની નીચેની ખાલી જગ્યાનો સદુપયોગ કરી ત્યાં રૂ. 2.50 કરોડના ખર્ચથી સ્પોર્ટ્સ એક્ટિવિટી વિકસાવવામાં આવશે અને RTO સર્કલ પાસે કડિયા નાકાનું નિર્માણ થશે, શિવાજી સર્કલથી દુ:ખીશ્યામબાપા સર્કલ સુધી રૂ.11.30 કરોડના ખર્ચથી પેવર રોડ તથા સ્વપ્નશીલ સોસાયટીમાં આર.સી.સી. રોડ બનાવવામાં આવશે, આનંદનગર, ગીતાચોક અને કાળિયાબીડ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવાના કામો હાથ ધરાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ બે પેકેજ હેઠળ નવા આધુનિક બસ સ્ટોપ બનાવવામાં આવશે, વડવા વોશિંગ ઘાટ પાસે આંગણવાડી (નંદઘર) નિર્માણ અને કાળિયાબીડમાં PHC સેન્ટર સુધી ડ્રેનેજ કનેક્ટિવિટી આપવામાં આવશે, વોર્ડ નં. 10 (સીદસર) માં લેન્ડ કોન્ટ્રીબ્યુશનની જગ્યામાં ભાવનગર ક્લબ ફેઝ-2 અને ફર્સ્ટ ફ્લોર પર યોગા હોલનું નિર્માણ રૂ. 4.63 કરોડના ખર્ચે થશે, ફૂડ પાર્ક / ફૂડ સ્ટ્રીટ (ઘોઘા સર્કલ) 6,28,09,321, પેવર રોડ શિવાજી સર્કલ થી દુ:ખીશ્યામબાપા સર્કલ રૂ.11,30,93,508, ભાવનગર ક્લબ ફેઝ-2 અને યોગા હોલ રૂ. 4,63,16,229, ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી રૂ. 2,50,15,633 મળી કુલ 14 વિકાસ કામો 29,04,44,535 કરોડના કામો ને મંજૂરી આપવામાં આવી હતી.
ગોધરામાં ધ એસોસિએશન ઓફ વી ક્લબ્સ ઓફ ઇન્ડિયા, વી ડિસ્ટ્રિક્ટ ૩૨૩ એફ-૧ ૨૦૨૫ દ્વારા મહિલા ક્રિકેટ વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગોધરા ખાતે યોજાઈ હતી.ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ વી હર્ષા પંચાલ દ્વારા સૌપ્રથમવાર આ વી ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. ગોધરાની વિવિધ ક્લબોના મહિલા સભ્યોએ આ મેચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ક્રિકેટ મેચ દ્વારા 'સ્ત્રી સશક્તિકરણ'નું એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઓમ નગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલા હંસાબેન મોવૈયા આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 3 મહિનાથી રોડ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અધિકારીઓએ 10 તારીખ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હોવા છતાં, આજદિન સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ રોડની બિસ્માર હાલતને કારણે ખાસ કરીને શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક બાળકો સાયકલ પરથી પડી જવાની ઘટનાઓ પણ બની છે. જો અમે નિયમિત મકાન વેરો અને અન્ય ટેક્સ ભરતા હોય, તો તેમને પાયાની સુવિધા કેમ નથી મળતી? જો આગામી દિવસોમાં રોડનું કામ શરૂ નહીં થાય તો સોસાયટીની શેરીઓ બંધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. રાજકોટના 80 ફૂટ રોડ ઉપર સિટીબસ હડફેટે 6 લોકો ઘાયલ રાજકોટ શહેરમાં સિટિબસ ચાલકો બેફામ હંકારતા હોવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. આજે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં 80 ફૂટ રોડ પર સિટી બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં સ્પીડમાં જતી બસે અનેક લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. શેઠ હાઈસ્કૂલ પાસે બનેલી આ ઘટનામાં સિટી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થતા 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિકોમાં સિટી બસના ડ્રાઈવરોની મનસ્વી ગતિ અને બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે સિટી બસના ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રેલવેની મંજૂરીના અભાવે રાજકોટનો સાંઢિયા પુલ પ્રોજેક્ટ વિલંબમાં મુકાતા લોકો પરેશાન રાજકોટના જામનગર રોડ પર રૂ. 75 કરોડના ખર્ચે બની રહેલા વર્ષો જૂના સાંઢિયા પુલનું નવનિર્માણ કાર્ય વહીવટી મંજૂરીઓના વાંકે અટવાયું છે. રેલવે ટ્રેક પર સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા માટે રેલવે તંત્ર પાસેથી જરૂરી મંજૂરી હજુ સુધી મળી નથી, જેના કારણે ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું લક્ષ્યાંક પૂર્ણ થાય તેમ લાગતું નથી. આ વિલંબને કારણે માર્ચ-2026ની સમય મર્યાદામાં કામ પૂરું થવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. તંત્રની આ ઢીલી નીતિનો ભોગ બજરંગવાડી, વોરા સોસાયટી, વાંકાનેર સોસાયટી અને રેલનગર જેવા વિસ્તારોમાં રહેતા લાખો લોકો બની રહ્યા છે. હાલ પુલનું કામ ચાલુ હોવાથી વાહનોનો તમામ ભાર ભોમેશ્વર અને પોપટપરા વિસ્તાર પર પડ્યો છે. ભોમેશ્વર ફાટક બંધ થતા જ કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેનાથી સ્થાનિકો પ્રદૂષણ અને ઘોંઘાટથી ત્રસ્ત છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા અને અશોકસિંહ વાઘેલાએ તંત્ર પાસે વહીવટી પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરી લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવવા માંગ કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ, ઉત્તરાયણે દોરીથી ઈજાગ્રસ્ત થતા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા દર્દીઓ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. 14 જાન્યુઆરીના રોજ રાજકોટમાં પતંગબાજીનો ભારે ઉત્સાહ જોવા મળે છે, પરંતુ તેની સાથે પતંગની ઘાતક દોરી જીવલેણ પણ સાબિત થતી હોય છે. જેને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના માઇનોર ઓપરેશન થિયેટરમાં નિષ્ણાત સ્ટાફ સતત ખડેપગે રહેશે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવતી વખતે આંગળીઓ કપાઈ જવી, ધાબા પરથી પડી જવું કે રસ્તા પર જતા બાઈક ચાલકોના ગળામાં દોરી ફસાઈ જવી જેવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાના ભાગરૂપે દોરીથી ગંભીર રીતે કપાયેલા દર્દીઓ માટે અલગ વોર્ડ અને તાત્કાલિક સારવારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઘણીવાર દોરી શરીરમાં ઊંડી ઉતરી જવાને કારણે ઈમરજન્સી સર્જરીની જરૂર પડતી હોય છે, જેના માટે માઇનોર OT માં ખાસ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષોના અનુભવોને આધારે પર્વ દરમિયાન હોસ્પિટલમાં આવતા દર્દીઓને વિના ખર્ચે અને ત્વરિત સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં નોંધાયા 2052 દર્દી, 826 ક્લોરીન ટેસ્ટ રાજકોટમાં કડકડતી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ શહેરના સરકારી ચોપડે રોગચાળાના 2052 કેસ નોંધાયા છે. આરોગ્ય શાખા દ્વારા જારી કરાયેલા અઠવાડિક રિપોર્ટ મુજબ, તા. 5-1 થી 11-1 દરમિયાન મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ અદ્રશ્ય રહ્યા છે, જે એક રાહતના સમાચાર છે. જોકે, અન્ય બીમારીમાં શરદી-ઉધરસના 1083 કેસ, સામાન્ય તાવના 725 અને ઝાડા-ઉલ્ટીના 242 કેસ સામે આવ્યા છે. ઉપરાંત શહેરમાં કમળાના પણ 2 કેસ નોંધાયા છે, જ્યારે ટાઇફોઇડનો એક પણ કેસ જોવા મળ્યો નથી. રોગચાળો નિયંત્રિત કરવા માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન 826 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ફિલ્ડ વર્કરો દ્વારા 17342 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 603 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ દરમિયાન 197 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં 168 રહેણાંક અને 29 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે.
'સ્વચ્છ શહેર' તરીકે દેશભરમાં નામના છે તે સુરત મહાનગરપાલિકાના વહીવટના ધાંધિયા ફરી એકવાર સામે આવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અમૃતનગર ખાતે છેલ્લા કેટલાય સમયથી પીવાનાં પાણીમાં ગટરનું અને કેમિકલયુક્ત દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર 'કુંભકર્ણની નિદ્રા'માં હોય તેમ લાગી રહ્યું છે. પીવાલાયક પાણી કે ઝેર?સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરરોજ સવારે જ્યારે પાલિકા દ્વારા પાણીનો પુરવઠો છોડવામાં આવે છે, ત્યારે નળમાંથી શુદ્ધ પાણીને બદલે અત્યંત દુર્ગંધ મારતું અને રંગીન પાણી નીકળે છે. અમૃતનગરના રહીશોનું કહેવું છે કે, આ પાણી પીવું તો દૂર, ઘરકામ કે નાહવા માટે પણ વાપરી શકાય તેમ નથી. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ઝાડા-ઊલટી અને ચામડીના રોગો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. ગેરકાયદેસર ડાઈંગ મિલોનો રાફડોઆ સમસ્યા પાછળનું મુખ્ય કારણ સ્થાનિકોએ આજુબાજુમાં ધમધમતા ગેરકાયદેસર તપેલા ડાઈંગ એકમોને ગણાવ્યું છે. આરોપ છે કે આ એકમો કોઈપણ જાતના ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર ડાયરેક્ટ ડ્રેનેજ લાઈનમાં કેમિકલયુક્ત રંગીન પાણી છોડી રહ્યા છે. ડ્રેનેજ અને પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ અથવા લીકેજ હોવાથી આ કેમિકલયુક્ત પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. તંત્રની મિલીભગતથી આ એકમો બેરોકટોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ગાંધીનગર સુધી ગુંજ, છતાં તંત્ર નિષ્ક્રિયસુરત મહાનગરપાલિકાની આ ઢીલી કામગીરીના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. હજુ થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સુરત પાલિકાને પાણી અને સફાઈના મુદ્દે કડક ટકોર કરવામાં આવી હતી. તેમ છતાં, નીચલા સ્તરના અધિકારીઓ અને વહીવટી તંત્ર જાણે સુધરવાનું નામ નથી લેતા. લોકોમાં ચર્ચા છે કે જો મુખ્યમંત્રીની સૂચનાનું પણ પાલન ન થતું હોય, તો સામાન્ય નાગરિકની ફરિયાદની શું વિસાત? રહેવાસીઓની માગણીઅમૃત નગરના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને ગેરકાયદેસર ડાઈંગ મિલો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. લોકોની મુખ્ય માગણીઓ છે કે, તાત્કાલિક અસરથી દૂષિત પાણીની સમસ્યા દૂર કરી શુદ્ધ પાણી આપવામાં આવે. ગેરકાયદેસર કેમિકલ છોડતા એકમોને સીલ કરવામાં આવે. બેદરકાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે, સુરત મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે જાગશે કે પછી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા જ રહેશે? લાલ, ભૂરું તો કોઈવાર ગટર જેવી વાસ મારે છે: સોનલબેનસ્થાનિક રહીશ સોનલબેને જણાવ્યું હતું કે, અમારે ઉધનાના અમૃતનગરમાં દોઢ-બે વર્ષથી ખૂબ જ ગંદુ પાણી આવે છે. કોઈવાર લાલ, ભૂરું તો કોઈવાર ગટર જેવી વાસ મારે છે પાણીમાંથી. અધિકારીઓને ઘણીવાર અમે જાણ કરેલી છે SMCમાં, પણ કોઈ જ અમારી દરખાસ્ત સાંભળતું નથી અને કોઈ જ પગલાં લેવાતા નથી આ વિષયે. હવે આપણે બધાએ જાણ્યું છે કે ઈન્દોરમાં કેવા કેસો બન્યા છે આ પાણીના લીધે. આજે એ જ ઝેરી પાણી અમે પણ પી રહ્યા છીએ એવું જ, તો અમારી સાથે પણ આવા જ કેસો બનવા માંગે છે? બે વર્ષથી રજૂઆત કરીએ છીએ છતાં પરિસ્થિતિ એવી જ છે: ગૌતમભાઈસ્થાનિક રહીશ ગૌતમભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીની અંદર અમે ઓછામાં ઓછી આજની તારીખમાં દોઢથી બે વર્ષથી રજૂઆત કરીએ છીએ અને એમાં અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી નવી લાઈનો, પાઈપલાઈન નાખીશું તો તમારી આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અમને નોટિસ આપેલી જેથી અમે એ નોટિસ બેઝ પર તાત્કાલિક કોર્પોરેટર સોમનાથભાઈને વાત કરીને નવી લાઈનો નંખાવી દીધી. તો સોમનાથભાઈએ સહકાર આપીને નવી લાઈન નંખાવડાવીને એના પછી અમે પાછા એ જ પરિસ્થિતિમાં આવી ગયા છીએ કે ગંદુ પાણી, ગટરિયું પાણી, કેમિકલયુક્ત પાણી આવે છે. 'સાંઠગાંઠના લીધે આ બધું ચાલી રહ્યું છે'સામે સિટી ઈન્ડસ્ટ્રીમાં આ જે ટેક્સટાઈલ અને બધી તપેલા ડાઈંગ, બાજુમાં દર્શન મીલ, રામકૃષ્ણ ઠાકોર નગર એ બધામાં તપેલા ડાઈંગો બધા ચાલે છે. અમે કમ્પ્લેઈન કરીએ છીએ તો એમને કહે કે થોડી વાર તમે અડધો કલાક એ પાણી જવા દો બોલે. આ કેવી વાત છે? અડધો કલાક પાણી જવા દો એટલે સારું પાણી આવવા લાગશે બોલે. તો આ તમારી કઈક સાંઠગાંઠ છે એના લીધે આ બધું ચાલી રહ્યું છે. ગંભીર બીમાર થશે તો એની જવાબદારી કોણ લેશે?બીજી વાત અમે કહીએ કે ભાઈ આ પાણીનું તમે સોલ્યુશન લાવો તો અમને એમ કહે છે કે અમને હાઈડ્રોલિક વાળા અમને સપોર્ટ નથી કરતા. હાઈડ્રોલિકના જે સાહેબ છે, તે કહે કે અમને આ લોકો સપોર્ટ કરે તો અમે તમારી લાઈન નવી નાખી આપીએ, એક અલગથી પાઈપ રોડ પર, મેઈન રોડ પર જે નવસારી હાઈવે રોડ છે. તો ત્યાંથી અમારી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે પણ હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટ પણ આ સાંભળવા તૈયાર નથી. અમારે ત્યાં છોકરાઓ જે પાણી પીએ છે તેનાથી ગંભીર બીમાર થશે તો એની જવાબદારી કોણ લેશે?
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામમાં ગેસ સિલિન્ડર ચોરીની ઘટનાઓથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે વધુ બે ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થતાં ગ્રામજનોએ પાટડી પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી. એક જ મહિનામાં ખારાઘોડા ગામમાં કુલ સાત ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થઈ છે. જગદીશ સોસાયટી અને ખોડીયાર નગર સોસાયટીમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. રવિવારે રાત્રે થયેલી ચોરીમાં હરિભાઈ પટેલ અને જીતેન્દ્રભાઈ ગજ્જરના રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ગ્રામજનોએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી કે, ગામમાં રાત્રિ પેટ્રોલિંગ બંધ થઈ ગયું છે, જે પહેલા નિયમિત થતું હતું. ચોરીની વધતી ઘટનાઓ અંગે ખારાઘોડાના પૂર્વ સરપંચ બી.ડી. બાથાણી, કનુભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, કાળુભાઈ સુથાર અને ધવલભાઈ પટેલ સહિતના આગેવાનોએ પાટડી પીઆઈ બી.સી. છત્રાલીયા અને પોલીસ સ્ટાફને ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ચોર ગેંગને પકડવાની ખાતરી આપી હતી. જોકે, ગામમાં સતત વધતી જતી ગેસ સિલિન્ડર ચોરીની ઘટનાઓથી લોકોમાં હજુ પણ ફફડાટ અને રોષનો માહોલ યથાવત છે.
ચંદ્રુમાણા સ્થિત ગૌરી વિદ્યાલયમાં ગામના વતની અને અમદાવાદ નિવાસી દવે પરિવાર દ્વારા ₹1,51,000ના ખર્ચે નવો પ્રાર્થના શેડ બનાવવામાં આવ્યો છે. આ સખાવતથી શાળા પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી છે અને વિદ્યાર્થીઓને પ્રાર્થના તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સુવિધા મળી છે. શાળામાં અગાઉ મુખ્ય દાતા કાજલબેન ચેતનભાઈ વ્યાસ સરપંચના સહયોગથી શાળાનું રીનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ પ્રાર્થના માટેનો ઓટલો તૂટી ગયો હતો, જેના સમારકામ અને પ્રાર્થના-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે શેડની જરૂર અંગે ગૌરી વિદ્યાલયના પ્રમુખ ભાનુભાઈ વ્યાસે અમદાવાદ રહેતા દિલીપભાઈ દવે સમક્ષ રજૂઆત કરી હતી. દિલીપભાઈ દવે અને હેતુલ દવે દ્વારા, પરિવારના મહેન્દ્રભાઈ દવે અને નિરંજન દવે સહિતના સ્વજનોની ભલામણથી, માતા સ્વ. સવિતાબેન દવેની સ્મૃતિમાં ₹1,51,000ની સખાવત કરવામાં આવી હતી. આ ભંડોળમાંથી આધુનિક પ્રાર્થના શેડનું નિર્માણ થયું છે. શાળાના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ અને આચાર્ય સતિષ જાદવ સહિત સમગ્ર શાળા પરિવારે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવારે જણાવ્યું કે આગામી સમયમાં આશરે ₹1.25 લાખના ખર્ચે પ્રાર્થના માટેના ઓટલાનું પણ નવીનીકરણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ દવે પરિવાર ગામની રામ સેવા સમિતિ દ્વારા થતા કીટ વિતરણ કાર્યક્રમમાં પણ વર્ષોથી આર્થિક સહયોગ આપી રહ્યો છે, જે તેમની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પાલનપુર શહેરમાં ઉત્તરાયણના તહેવારો દરમિયાન ઘાતક દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે બનાસકાંઠા પોલીસ અને મહારાણા સેવા ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત મોટરસાયકલ ચાલકોની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું, જ્યાં લોકોની અવરજવર વધુ હોય છે. જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ, નેત્રમ શાખાના પીએસઆઇ, સીટી ટ્રાફિક પી.એસ.આઇ અને મહારાણા સેવા ગ્રુપના કાર્યકરોની હાજરીમાં 300થી વધુ મોટરસાયકલ પર સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા. પોલીસ અને સેવા ગ્રુપ દ્વારા લોકોને ઘાતક દોરીના જોખમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમને દોરીનો બેદરકારીપૂર્વક ઉપયોગ ન કરવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ હતી. આ સાથે જ, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ વિનંતી કરવામાં આવી હતી.પાલનપુરમાં શરૂ થયેલી આ પહેલને નાગરિકો દ્વારા સારો આવકાર મળ્યો છે.
ભાવનગરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતાં યુવકની યુવતી સાથે ફોન પર વાતચીત મુદ્દે વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં યુવતીના પરિવારના 3 શખસોએ યુવક અને તેના પરિવાર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકનું મોત નિપજ્યું હતું, ત્યારે આ હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓને આજ રોજ બનાવસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. શું છે સમગ્ર મામલો10 જાન્યુઆરીના મોડી રાત્રિના ફરિયાદી દિલીપ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદારના સંબંધીની દીકરી સાથે શહેરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતો અલ્પેશ ધીરાભાઈ સોલંકી ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોય, જે બાબતે ફરિયાદી તથા તેના મામા અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતાં. છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરીજે સમયે અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ, તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુધી અને એક સગીર, તેઓએ દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. જે દરમ્યાન અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશને પકડી રાખેલ અને રાહુલે દિલીપના દિનેશ હરભીમભાઈ ચૌહાણ (મામાને) પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી. વહેલી સવારે દિનેશનું સારવાર દરમિયાન મોત થયુંઆ બનાવ અંગે મૃતકના ભણીયાએ ઘોઘારોડ પોલિસ મથકમાં રાહુલ ધીરાભાઈ સોલંકી, અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે ઘુઘી સોલંકી અને એક સગીર વિરુદ્ધ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જોકે, 11 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દિનેશ હરભીમભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરીઘટનાના પગલે સીટી Dysp, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘોઘારોડ પોલિસે આ બનાવમાં નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી હતી અને એક સગીર સહિત ચારેય આરોપીની ધરપકડ કરી હતી. ચાર આરોપીને ઝડપ્યારાહુલ ધીરુભાઈ સોલંકી (ઉં.વ. 26)અલ્પેશ ભીમભાઈ સોલંકી (ઉં.વ. 19)સુરેશ ભીમાભાઈ સોલંકી (ઉં.વ. 24)એક સગીર
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ નવાતળાવ પ્રાથમિક શાળામાં એક શિક્ષક વર્ગમાં બાળકોને ભણાવવાને બદલે ઊંઘતા ઝડપાયા છે. આ ઘટનાથી શાળામાં શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. શાળાની મુલાકાતે પહોંચેલા ગામના આગેવાનોએ શિક્ષક યાજ્ઞિક મોહનભાઈ ટંડેલને વર્ગખંડમાં ટેબલ પર ઊંઘી રહેલા જોયા હતા. તે સમયે બાળકો વર્ગમાં હાજર હતા અને તેમને ભણાવવાને બદલે શિક્ષક ઊંઘી રહ્યા હતા. આગેવાનો દ્વારા પૂછપરછ કરતા શિક્ષક યાજ્ઞિક ટંડેલે જણાવ્યું હતું કે, તેમણે બાળકોને લેસન આપ્યા બાદ રાત્રિના ઉજાગરાને કારણે ઊંઘી ગયા હતા. શિક્ષકની આ બેદરકારી સામે આવી છે. આ ઘટનાને પગલે ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો શિક્ષક યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે. ગ્રામજનોએ શિક્ષણ વિભાગને શિક્ષક સામે યોગ્ય પગલાં લેવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપના ગ્રાઉન્ડમાં નેટ પ્રેક્ટિસ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં પંડ્યા પોતાના જૂના અંદાજમાં આક્રમક બેટિંગ અને જોરદાર ફટકાબાજી કરતા જોવા મળી રહ્યા છે. પંડ્યા અવારનવાર જામનગર રિલાયન્સ ટાઉનશીપની મુલાકાત લેતા હોય છે. તાજેતરમાં તેમણે ટાઉનશીપના ક્રિકેટ ગ્રાઉન્ડ પર નેટ પ્રેક્ટિસ દરમિયાન મેદાનની ચારેબાજુ ધુંઆધાર શોટ્સ ફટકાર્યા હતા. ઈજાના લાંબા ગાળા બાદ મેદાનમાં પરત ફરી રહેલા પંડ્યાનું આ શાનદાર ફોર્મ જોઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં હાર્દિક પંડ્યા સંપૂર્ણ લયમાં હોય તેમ જણાય છે. આગામી મેચો પૂર્વે તેમની આ પ્રેક્ટિસ ભારતીય ક્રિકેટ ટીમ અને તેમના પ્રશંસકો માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.
સુરતના કતારગામમાં યુવકની હત્યા:જૂની અદાવતમાં ત્રણ-ચાર શખસો વિપુલ કાનાણીની છરીના ઘા ઝિંકી ભાગ્યા
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. કતારગામના ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસે યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતને પગલે આ ખૂની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખસોએ હત્યા કરીમળતી માહિતી મુજબ, કતારગામના ધનમોરા વિસ્તારમાં આવેલી જે. કે. પી. નગર સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં રહેતા વિપુલ કાનાણી નામના યુવક પર ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી વિપુલની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાનસૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ કાનાણીની હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ભૂતકાળમાં થયેલા કોઈ ઝઘડા અથવા અણબનાવનું વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે આ હુમલો કર્યો હોવાની શક્યતા છે. જોકે, ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાઆ ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ફરાર થયેલા 3થી 4 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિપુલના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

27 C