SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

આધાર કાર્ડ કઢાવવા 32 હજાર લાંચ માગી:સિવિક સેન્ટરના પ્યુન સહિત ત્રણ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા; મુખ્ય આરોપી ઓપરેટર ફરાર

હાલમાં ભારતીય નાગરિકોને જરૂરી એવું આધાર કાર્ડ કઢાવવા માટે સિવિક સેન્ટરના કરાર આધારિત કર્મચારીઓએ એક વ્યક્તિ પાસેથી 32 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે લાંચ લેતા સિવિક સેન્ટરનો પ્યુન અને એક ખાનગી વ્યક્તિ ઝડપાઈ ગયા હતા, જ્યારે લાંચની માંગણી કરનાર મુખ્ય આરોપી કોમ્પ્યુટર ઓપરેટર ફરાર છે. કોઈ અડચણ વિના આધાર કાર્ડ કઢાવવા માટે 32 હજાર માગ્યાસરસપુરમાં આવેલા સિવિક સેન્ટરમાં એક વ્યક્તિ આધાર કાર્ડ કઢાવવા ગયા હતા. ત્યારે કોમ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ભાગ્યેશ સોલંકીએ ઝડપથી અને કોઈ અડચણ વિના આધાર કાર્ડ કાઢવા માટે પહેલા 25 હજાર માંગ્યા અને બાદમાં બીજા 7 હજાર એમ કુલ 32 હજાર માંગ્યા હતા. જે લાંચ માંગતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ખાનગી વ્યક્તિ સહિત ત્રણેય લાંચ લેતા ACBના હાથે ઝડપાયા ACBએ લાંચ માટેનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી આરોપી ભાગ્યેશના કહ્યા મુજબ લાંચ આપવા તૈયાર થઈ ગયા હતા ત્યારે ભાગ્યેશ વતી જય પંચોલીએ વાત કરીને મળવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીને લાંચ લેવા કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે બોલાવ્યા હતા. જ્યાં લાંચ લેવા સંદીપ પ્રજાપતિ નામનો ખાનગી વ્યક્તિ આવ્યો હતો. જોકે ACBએ ખાનગી વ્યક્તિ સહિત ત્રણેયને લાંચ લેતા ઝડપી લીધા હતા. કલેક્ટર કચેરીનું અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ શરૂલાંચ કેસના ત્રણેય આરોપીઓની ઉંમર 22થી 27 વર્ષની છે, જેમાં જય પંચોલી સરસપુરનો રહેવાઈ છે, ભાગ્યેશ સોલંકી અમરાઈવાડી અને સંદીપ પ્રજાપતિ સરસપુરનો રહેવાસી છે. આ લાંચ કેસમાં કલેક્ટર કચેરીનું અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:34 am

ઈમેઈલ સ્પુફિંગ દ્વારા લાખોની ઠગાઈ:ગાંધીનગરની ફાર્મા કંપનીને વેન્ડરના નામે ફેક ઈમેઈલ મોકલ્યો, ઠગબાજોએ વિશ્વાસમાં લઈ રૂ. 10.80 લાખનો ચૂનો લગાવ્યો

ગાંધીનગરના સાંતેજ સ્થિત એક ફાર્મા અને ફૂડ્સ કંપની સાથે ઈમેઈલ આઈડીમાં ફેરાફાર કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ગઠિયાઓએ કંપનીના સત્તાવાર વેન્ડરના નામે ખોટો ઈમેઈલ કરી કુલ રૂ .10.80 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગૂનો નોંધવામાં આવ્યો છે. શ્રી એડિટિવ્સ ફાર્મા એન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે છેતરપિંડીકલોલ ખાતે રહેતા પવન સાહેબરાવ વાઘ સાંતેજમાં આવેલી શ્રી એડિટિવ્સ ફાર્મા એન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કંપનીના નંદાસણ યુનિટના સેટઅપ માટે મુંબઈની ડિઝાઇન સંયોજક નામની ફર્મ સાથે કામકાજ ચાલતું હતું. અસલ વેન્ડર જેવા જ દેખાતા ખોટા ઈમેલ આઈડી પરથી મેલ મળ્યોઆ ફર્મના બાકી પેમેન્ટ માટે કંપનીના ફાઇનાન્સ ડાયરેક્ટર નીરાલીબેન પટેલ સાથે ઈમેઈલ પર વાતચીત ચાલી રહી હતી. દરમિયાન 15 ઓક્ટોબર 2025ના રોજ અસલ વેન્ડર જેવા જ દેખાતા ખોટા ઈમેઈલ આઈડી પરથી નીરાલીબેનને મેઈલ મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે ડિઝાઇન સંયોજક ફર્મનું બેંક એકાઉન્ટ હાલમાં ઓડિટમાં હોવાથી પેમેન્ટ અન્ય ખાતામાં કરવાનું રહેશે. કંપનીએ વિગતો સાચી માનીને RTGS દ્વારા 10.80 લાખ ટ્રાન્સફર કરી દીધાબાદમાં ગઠિયાઓએ શ્રી નમો એન્ટરપ્રાઈઝના નામે પંજાબ નેશનલ બેંકની વિગતો મોકલી આપી હતી અને કંપનીએ આ વિગતો સાચી માનીને RTGS દ્વારા 10 લાખ 80 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે દિવાળીની રજાઓ બાદ આસિસ્ટન્ટ મેનેજર પવન વાઘે વેન્ડર કંપનીના મેનેજર શ્રીધર દદનાલા સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે, તેમણે આવો કોઈ ઈ-મેઈલ મોકલ્યો નથી કે તેમનું કોઈ એકાઉન્ટ ઓડિટમાં નથી. ગઠિયાઓએ પેમેન્ટ મળ્યાના બીજા જ દિવસે રકમ ઉપાડી લીધીજે અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ઠગબાજોએ કંપનીના અને વેન્ડરના નામને મળતા આવતા અનેક ફેક ઈમેઈલ આઈડી બનાવ્યા હતા. ગઠિયાઓએ પેમેન્ટ મળ્યાના બીજા જ દિવસે એટલે કે 16 ઓક્ટોબરના રોજ ચેક દ્વારા તમામ રકમ ઉપાડી લીધી હતી. આ મામલે સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કર્યા બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:19 am

શાયોના વિદ્યાલયે બોટાદમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોના સ્મારકોની સફાઈ કરાઈ

બોટાદની શાયોના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા અને સામાજિક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા મહાનુભાવોના સ્મારકોની આસપાસ સફાઈ કરવામાં આવી હતી. મૂર્તિઓને સૂતર અને ફૂલગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ અને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી તેઓમાં સામાજિક ચેતના જાગૃત થાય. અભિયાન દરમિયાન સરદાર પટેલ પાટીદાર વિસ્તારમાં નાગલપરના દરવાજે ભારતીય સૈનિકની મૂર્તિ, તુરખા રોડ પર ખેડૂત મિત્રોની મૂર્તિ, હાઈસ્કૂલ પાસે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા, હવેલી ચોકમાં કવિ બોટાદકરની પ્રતિમા, BJP ઓફિસ પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા, સોનાવાલા હોસ્પિટલ પાસે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને જૂના માર્કેટિંગ યાર્ડ પાસે વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સફાઈ અને સજાવટ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને મહાનુભાવો પ્રત્યે આદરભાવ જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકોએ પણ આ કાર્યની પ્રશંસા કરી હતી. શાયોના વિદ્યાલય બોટાદના આચાર્ય નિલેશભાઈ ડાબસરા, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો. આ સ્વચ્છતા અભિયાન સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. શાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા જ લોકહિતના કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:10 am

ગીર સોમનાથ પોલીસે સજા વોરંટનો આરોપી પકડ્યો:અમદાવાદના કેસમાં વર્ષોથી નાસતો ફરતો હતો

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સીટી પોલીસે સજા વોરંટના કામે વર્ષોથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ, એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, કોર્ટ નં. 25, અમદાવાદ સીટી ખાતે નોંધાયેલા ક્રિ.૫.અ. નં.10982/2024ના કેસમાં સજા વોરંટ ધરાવતો આરોપી અનવરઅલી મો. ઉમર ઉર્ફે ગામા શાહ (ઉંમર 31 વર્ષ) લાંબા સમયથી ફરાર હતો. આરોપી વેરાવળ વિસ્તારમાં જ ગુપ્ત રીતે રહેતો હોવાની માહિતી મળતાં, વેરાવળ સીટી પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે, પોલીસે વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી હાલ વેરાવળના ગ્રીનપાર્ક સોસાયટી, અલીભાઈ ફ્લોર ફેક્ટરી સામે, તાલાળા ચોકડી, સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ રાજ્યના બલરામપુર જિલ્લાના ઉતરોલા તાલુકાના રૈરા બજાર થાણા હેઠળ આવેલું બનજરીયા (દુલહિયા) ગામ છે. આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને સજા વોરંટના અનુસંધાને કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસની આ સતત કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બન્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:08 am

હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:2200 લીટર આથો, 350 લીટર દારૂ જપ્ત; એક ઝડપાયો, દંપતી ફરાર

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ છે. પોલીસે સ્થળ પરથી 2200 લીટર આથો, 350 લીટર દેશી દારૂ અને ૨૫ બિયરના ટીન સહિત કુલ રૂ. 1,33,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક દંપતી સહિત અન્ય બે આરોપીની શોધખોળ ચાલી રહી છે. હળવદ પોલીસને ભવાનીનગર ઢોરો વિસ્તારમાં આવેલા એક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે પીઆઈ આર.ટી. વ્યાસની સૂચનાથી પોલીસ સ્ટાફે દારૂની રેડ કરી હતી. રેડ દરમિયાન, પોલીસને સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2200 લીટર આથો, 350 લીટર તૈયાર દેશી દારૂ અને 25 બિયરના ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત, દારૂ બનાવવામાં વપરાતી અન્ય સાધનસામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1,33,700 આંકવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી સુનિલ દિલીપભાઈ રીબડીયા (રહે. શ્રી હરિ ટાઉનશીપ, ખેરાડી ગામ) નામના આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં માનસિંગ ઉર્ફે હદીઓ વિહાભાઈ રાતોજા અને ઉર્મિલાબેન માનસિંગભાઈ રાતોજા (બંને રહે. ભવાનીનગર ઢોરો, હળવદ) નામના દંપતીના નામ પણ સામે આવ્યા છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર દંપતીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:03 am

રાધનપુરમાં 8 વર્ષ પહેલા બાળકીના મોત કેસમાં ચુકાદો:બાઇકચાલકને 3 વર્ષની સખ્તકેદ, ₹4500 દંડ

રાધનપુર સેસન્સ કોર્ટે આઠ વર્ષ પહેલા થયેલા એક અકસ્માત કેસમાં ચુકાદો આપ્યો છે. આ કેસમાં નવ વર્ષની બાળકીનું મોત નીપજાવનાર બાઇક ચાલક અબ્દુલ કાદર મેમદભાઈ ઘાંચી (રહે. રાધનપુર)ને ત્રણ વર્ષની સખ્તકેદ અને 4500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ શંકરભાઈ કે. પટેલે રજૂઆત કરી હતી. આ ઘટના 17 ડિસેમ્બર, 2017 ના રોજ રાધનપુર નગરના ભીડભાડવાળા મેઈન બજારમાં બની હતી. આરોપી અબ્દુલ કાદર પોતાનું બાઇક રાધનપુરના રાજગઢીથી પૂરઝડપે અને રોંગ સાઇડમાં ચલાવી રહ્યો હતો. મંડાઈ ચોકથી રાજગઢી તરફ જઈ રહેલા બે બાળકો પૈકી, તેણે નવ વર્ષની બાળકી દિવ્યાબેનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી બાઇક સાથે 10-15 ફૂટ સુધી ઢસડાઈને ફંગોળાઈ હતી. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. અકસ્માત બાદ બાઇક ચાલક પણ નીચે પટકાયો હતો, પરંતુ તે પોતાનું બાઇક બાજુમાં મૂકીને રિક્ષામાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ બનતા ત્યાં હાજર કડિયાકામ કરતા ભરતભાઈ કડિયા (ઉં.વ. 45), તેમના પત્ની અને એક શાકવાળી મહિલાએ બાળકીને તાત્કાલિક રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ બાળકી દિવ્યાબેનના પરિવારને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બાળકીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ કેસ રાધનપુરની સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, સેસન્સ જજ આર.આર. ચૌધરીએ આરોપીને આઈપીસી કલમ 304 હેઠળ ગુનેગાર ઠેરવી ઉપરોક્ત સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:00 am

ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસ:8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાયો

ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણી, જે છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો અને કોર્ટ દ્વારા તેને ફરારી જાહેર કરાયો હતો, તેને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત LCB પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસનો આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણી હાલ જૂનાગઢના દોલતપરા સ્થિત પોતાના ઘરે છુપાયેલો છે. આ બાતમીના આધારે LCB ની ટીમે તાત્કાલિક જૂનાગઢ ખાતે દરોડો પાડી આરોપી રહીમ મકરાણીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 108 અને 61(2) મુજબ ગુનો નોંધાયેલો છે. રહીમ મકરાણી છેલ્લા આઠ મહિનાથી પોલીસની પકડથી દૂર હતો. રાજકોટ ગ્રામ્ય LCB એ આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે જેતપુર PI એ.ડી. પરમારને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં LCB ના પી.આઈ. ઓડેદરા, પી.એસ.આઈ. ભીમાણી, ગોહિલ તથા અન્ય સ્ટાફના માણસો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 8:54 am

પશ્ચિમ રેલવે બે વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે:સાબરમતી–બિકાનેર અને પોરબંદર–જોધપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી–બિકાનેર તેમજ પોરબંદર–જોધપુર વચ્ચે બે વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ટ્રેનો વિશેષ ભાડા પર દોડશે. સાબરમતી–બિકાનેર વન-વે સ્પેશિયલ 30 જાન્યુઆરીએ સાંજે 5:50 વાગ્યે ઉપડશેટ્રેન નંબર 09491 સાબરમતી–બિકાનેર વન-વે સ્પેશિયલ શુક્રવાર, 30 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5:50 વાગ્યે સાબરમતી સ્ટેશન પરથી રવાના થશે અને બીજા દિવસે સવારે 6:30 વાગ્યે બિકાનેર પહોંચશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, જોધપુર અને નાગૌર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. પોરબંદર–જોધપુર વન-વે સ્પેશિયલ 1 ફેબ્રુઆરીએ સાંજે 7:40 વાગ્યે ઉપડશેતે જ રીતે, ટ્રેન નંબર 09291 પોરબંદર–જોધપુર વન-વે સ્પેશિયલ રવિવાર, 1 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 7:40 વાગ્યે પોરબંદરથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 1 વાગ્યે જોધપુર પહોંચશે. આ ટ્રેન વાંસજાલિયા, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ અને સમદડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં પણ સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 8:33 am

રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક

Ajit Pawar Plane Crash News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ આજે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. Ajit Pawar Funeral LIVE 9 વાગ્યે તેમની અંતિમ યાત્રા શરૂ થશે અજિત પવારનો પાર્થિવ દેહ હાલમાં હોસ્પિટલથી તેમના નિવાસસ્થાન કાટેવાડી ખાતે લઈ જવામાં આવશે, જ્યાંથી સવારે 9 વાગ્યે તેમની અંતિમ યાત્રા શરૂ થશે.

ગુજરાત સમાચાર 29 Jan 2026 8:23 am

ભાવનગરના બોરતળાવમાં સિગલ પક્ષીઓનું આગમન:સ્થાનિક જળચર જીવો સાથે અનોખી મિત્રતાના દ્રશ્યો સર્જાયા

ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ખાતે 28 જાન્યુઆરીના રોજ સિગલ પક્ષીઓનું આગમન થયું હતું. આ પક્ષીઓ સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સિગલ પક્ષીઓ સામાન્ય રીતે દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળે છે અને લાંબા અંતરની યાત્રા કરીને અહીં પહોંચ્યા છે. તેઓ બોરતળાવના જળચર જીવો સાથે હળીમળીને રહેતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યોએ ભાવનગરના પર્યાવરણ અને પક્ષીજીવનમાં એક નવો રંગ ઉમેર્યો છે, જે પ્રકૃતિપ્રેમીઓ માટે આનંદનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 8:00 am

‘અંબે-2A’માં હાઇડ્રોકાર્બન (ગેસ) મળ્યાની માહિતી:ખંભાતના અખાતમાં અંબે બ્લોકમાં કુદરતી ગેસનો વિશાળ જથ્થો મળ્યો

વેદાંતા ગ્રુપની કંપની અને ભારતની સૌથી મોટી પ્રાઇવેટ તેલ અને ગેસ એક્સપ્લોરેશન તથા પ્રોડક્શન કંપની કેયર્ન ઓઇલ એન્ડ ગેસે વેસ્ટ કોસ્ટ પર અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં આવેલા તેના એપ્રેઝલ વેલ ‘અંબે-2A’માં હાઇડ્રોકાર્બન (ગેસ) મળ્યાની માહિતી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ (DGH) અને પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મંત્રાલયને આપી છે. આ શોધ મુખ્ય ગેસ ફીલ્ડની નીચે આવેલા રિઝર્વોયરમાં, માયોસીન-તારકેશ્વર ફોર્મેશન (લિગ્નાઇટનો જથ્થો ધરાવતો અખાતનો ભૌગોલિક વિસ્તાર)માં કરવામાં આવી છે. કેયર્ન ઓઇલ એન્ડ ગેસે જણાવ્યું છે કે તેને ગુજરાત નજીક સુરત અને ભાવનગર વચ્ચે દરિયામાં આવેલા અંબે બ્લોકમાં ગેસ મળ્યો છે. આ શોધ મહત્વની છે, કારણ કે વેસ્ટ કોસ્ટ (પશ્ચિમ દરિયાકાંઠે) પર આ પહેલો એવો નાનો ગેસ ફીલ્ડ (DSF) છે, જેમાંથી હવે ગેસ ઉત્પાદન શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. આ શોધને ભારતના દરિયાઈ તેલ-ગેસ વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહી છે. કંપનીએ અંબે બ્લોકમાં ખોદવામાં આવેલા ‘અંબે-2A’ નામના કુવામાં ગેસ મળ્યાની જાણકારી સરકારને આપી છે. આ ગેસ જમીનના નીચે આવેલા પથ્થરના સ્તરમાં મળ્યો છે, જે લાખો-કરોડો વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. આથી આ વિસ્તારમાં ગેસનો સારો જથ્થો હોવાની શક્યતા છે. અંબે બ્લોકમાં દરિયાના ઓછી ઊંડાઈવાળા વિસ્તારમાં ત્રણ કુવા ખોદવાની યોજના બનાવાઈ છે, જેથી ગેસ ઉત્પાદન શરૂ કરી શકાય. અંબે બ્લોક કેયર્ન માટે બીજો નાનો ગેસ ફીલ્ડ છે, જેને ગેસ ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં કંપનીએ ઉત્તર-પૂર્વ ભારતમાં એક ગેસ ફીલ્ડ સફળતાપૂર્વક મોનેટાઇઝ કર્યું હતું. વર્ષ 2022માં કેયર્નને અંબે બ્લોક ફાળવવામાં આવ્યો હતો અને આ બ્લોકના સંપૂર્ણ અધિકાર કેયર્ન પાસે છે. કેયર્ન દેશના પૂર્વ અને પશ્ચિમ બંને દરિયાઈ વિસ્તારોમાં આવેલા બ્લોક્સ પર કામ કરી રહી છે. આ પ્રયાસ સરકારના ‘સમુદ્ર મંથન મિશન’ સાથે જોડાયેલો છે, જેનો હેતુ દરિયાઈ ઊર્જા સંસાધનોનો વધુ ઉપયોગ કરવાનો છે. કંપનીએ તાજેતરમાં નવી ટેક્નોલોજી અપનાવી છે, જેમાં દરિયાના તળિયે ખાસ પ્રકારનું સ્ટીલ સ્ટ્રક્ચર સ્થાપિત કરવામાં આવ્યું છે. આથી નાનાં ગેસ ફીલ્ડમાંથી ઝડપથી અને સુરક્ષિત રીતે ગેસ કાઢવો સરળ બનશે.કેયર્ન ઓઇલ એન્ડ ગેસ ભારતભરમાં કુલ 44 બ્લોક્સમાં કાર્યરત છે, જેનો વિસ્તાર લગભગ 47,000 ચોરસ કિલોમીટર જેટલો છે. રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને આસામમાં કંપનીના ઉત્પાદનક્ષમ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. કંપનીનું લક્ષ્ય દેશના કુલ ઘરેલુ તેલ-ગેસ ઉત્પાદનમાં 50 ટકા યોગદાન આપવાનું છે. ગુજરાતમાં 1279 મિલિયન ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદનગુજરાતમાં 2024-25માં 1219 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિટ મીટર કુદરતી ગેસનું ઉત્પાદન થયું હતું. આ મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. મુંબઇના દરિયાકિનારે સૌથી વધુ 14 હજાર મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં દરિયાકિનારા સહિત 2025-26ના ડિસેમ્બર સુધી 940 અને મહિનામાં સરેરાશ 100 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થયું છે. ખાસ પ્રકારના મશીનથી સમુદ્રના તળિયે ચોક્કસાઇપૂર્વક ડ્રિલિંગખંભાતના અખાતમાં આવેલા કેયર્નના આ બ્લોકમાં સમુદ્રના તળિયે ખાસ પ્રકારના મશીનથી ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. એસએટી એટલે કે સબ-સી ટેમ્પલેટ નામે ઓળખાતી આ ટેકનોલોજીમાં લોઢાની વજનદાર પ્લેટ (ફ્રેમ)ને સમુદ્રના તળિયે બિછાવવામાં આવે છે. સ્કૂલમાં ડ્રોઇંગ કરતી વખતે સીધી લાઇન દોરાય એ માટે જેમ સ્ટીલની ફૂટપટ્ટી મુકીએ છીએ એ જ રીતે સમુદ્રના તળિયે ફ્રેમ મુકાય છે. જેથી ચોક્કસાઇપૂર્વક ડ્રિલિંગ થાય છે. આ મશીનના કારણે ચોક્કસ જગ્યાએ છેદ કરી શકાય છે. પોણા બે અમદાવાદ જેટલું કદ ધરાવે છે અંબે બ્લોક અહીં સુરત અને ભાવનગર વચ્ચે આવેલા દરિયામાં આવેલા અંબે બ્લોકમાં ગેસનો જથ્થો મળી આવ્યોહાલ કંપની આ ગેસ ફીલ્ડમાંથી કેટલો ગેસ મળી શકે તે અંગે અભ્યાસ કરી રહી છે અને આગળ વધુ બે કુવા ખોદવાની તૈયારીમાં છે. અંદાજે 6થી 8 મહિનાની પ્રક્રિયા બાદ ગેસનો કુલ જથ્થો કેટલો છે અને તેમાંથી કેટલો ગેસ બહાર કાઢી શકાય તેમ છે તેની સ્પષ્ટ માહિતી મળશે. જો ગેસ ઉત્પાદન શરૂ થાય તો દેશમાં ઉપયોગી ગેસ ઉપલબ્ધ થશે

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 7:49 am

ગોલ્ડની રકમમાં 67% વધારો:ગુજરાતીઓની ગોલ્ડ લોન 50 હજાર કરોડ પાર, શમાં ગોલ્ડ લોનની રકમ 15.6 લાખ કરોડ

ગુજરાતમાં લોકો દ્વારા લેવાતી ગોલ્ડ લોનની રકમ 50 હજાર કરોડને પાર થઇ ગઇ છે. ક્રિફ હાઇફ માર્કના રિપોર્ટ મુજબ, એક વર્ષમાં રાજ્યમાં ગોલ્ડની રકમમાં દેશમાં સૌથી વધુ 67% વધારો થયો છે. દેશમાં ગોલ્ડ લોનની રકમ 15.6 લાખ કરોડ છે, તેમાંથી 91% હિસ્સો ગુજરાત સહિત 10 રાજ્યમાં છે. 90 લાખથી વધુ એકાઉન્ટમાં લોન ચાલી રહી છે. ત્રીજા ભાગની ગોલ્ડ લોન 36-45ની ઉંમરના લોકોએ લીધેલી છે. જ્યારે 28% લોન 36થી નાની વયના લોકોએ લીધેલી છે. નવેમ્બર 2025ની સ્થિતિએ કુલ ગોલ્ડ લોનમાંથી 44% લોન મહિલાઓના નામે છે. દેશમાં ગોલ્ડ લોનની રકમ વાર્ષિક 42% વધી છે, જ્યારે લોનની સંખ્યામાં 10.3%નો વધારો થયો છે. મોડા હપતા ભરવાનું વલણ ઘટ્યું : ગોલ્ડ લોનમાં સમયસર હપતા ના ભરાવાની ઘટના સૌથી ઓછી બને છે. જે લોકોના હપતા 1થી 3 મહિના મોડા ચાલી રહ્યા હતા તેમનું પ્રમાણ બે વર્ષમાં 1.6%થી ઘટીને 1.2% થયું છે. જ્યારે 3થી 6 મહિના હપતા મોડા ચાલી રહ્યા હોય તેનું પ્રમાણ પણ 0.6% રહી ગયું છે. સોનાની વધતી કિંમત સાથે લોકોમાં હપતા સમયસર ભરવાનું ચલણ વધ્યું છે. 75% ગોલ્ડ લોન દક્ષિણના રાજ્યોમાં રાજ્ય રકમ વૃદ્ધિ તમિલનાડુ 5.2 લાખ કરોડ 41% આંધ્ર પ્રદેશ 2.6 લાખ કરોડ 37% કર્ણાટક 1.5 લાખ કરોડ 50% તેલંગાણા 1.3 લાખ કરોડ 44% કેરળ 1.2 લાખ કરોડ 33% મહારાષ્ટ્ર 90 હજાર કરોડ 50% ગુજરાત 50 હજાર કરોડ 67% કારણઃ વધતી કિંમત, સૌથી વધુ સુરક્ષિત સોનુંરિપોર્ટ જણાવાયું છે કે, ગોલ્ડ લોનમાં વૃદ્ધિ થવાના કારણોમાં સોનાની વધતી કિંમત અને જામીન તરીકે સોનાનું સૌથી સુરક્ષિત હોવાનું ગણાય છે. 60% લોનની રકમ સરકારી બેન્કો દ્વારા આપવામાં આવી છે. પરંતુ 8 ટકા હિસ્સો એનબીએફસી પણ ધરાવે છે. જ્યારે સક્રિય લોનમાં એનબીએફસીનો હિસ્સો 16.6 ટકા છે. 35% લોન હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છેદેશમાં ગોલ્ડ લોનમાંથી 35% લોન હાઇ રિસ્ક કે વેરી હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે. 18% મીડિયમ રિસ્કમાં આવે છે. 2.5 લાખથી વધુ રૂપિયાની લોનનો હિસ્સો 48% છે, જ્યારે 2.5 લાખથી ઓછા મૂલ્યની લોન 52% છે. નાના મૂલ્યની ગોલ્ડ લોનમાં એકંદરે વધુ જોખમ રહેલું છે. 48% ગોલ્ડ લોનમાં ઓછું કે એકદમ ઓછું જોખમ રહેલું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 7:37 am

100 કરોડથી 1000 કરોડ કોન્સર્ટની ટિકિટ ખરીદવા તૈયાર, VIDEO:'હું ત્યાં જ રડવા લાગીશ', પ્લેબેક સિંગિંગમાંથી અરિજિતની અણધારી એક્ઝીટથી અમદાવાદીઓએ શું કહ્યું?

સિંગર અરિજિતસિંહે મંગળવારે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે તેણે સ્પષ્ટતા કરી કે તેઓ મ્યૂઝીક બનાવવાનું ચાલુ રાખશે. અરિજિતની પ્લેબેક સિંગિંગમાંથી અણધારી એક્ઝીટ લેતા અમદાવાદી ફેન્સ પણ આઘાતમાં છે. અરિજિતસિંહના આ નિર્ણય અંગે દિવ્ય ભાસ્કરે શહેરના યુવાઓનો પ્રતિભાવ જાણવાની કોશિષ કરી હતી. જેમાં મોટા ભાગના ચાહકોને ધ્રાસ્કો પડ્યો છે. યુવાઓ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 7:00 am

અમેરિકાના ટેરિફને ટક્કર આપવા રાજકોટના ઉદ્યોગકારોની 6 માગ:કેન્દ્રીય બજેટ પહેલા એન્જિનિયરીંગ એસોસિએશને નાણામંત્રીને પત્ર લખ્યો, એન્જિનિયરીંગ એક્સપોર્ટ પાર્ક બનાવવાની માગ

પંપ, બેરિંગ, ઓટોપાર્ટસ, કીચનવેર અને હાર્ડવેર સહિતની વસ્તુઓના ઉત્પાદનમાં રાજકોટના ઉદ્યોગોનો દબદબો છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. રાજકોટમાં બનતા સબમર્શીબલ પંપ પર GSTનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા, કોઈપણ પોર્ટ પર એન્જિનિયરીંગ એક્સપોર્ટ પાર્ક બનાવવા સહિતની 6 માગણીઓ રજૂ કરવામાં આવી છે. રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના પ્રમુખ અને અન્ય હોદેદાર સાથે ભાસ્કરે વાતચીત કરી ઉદ્યોગકારોનો મત જાણ્યો હતો. સબમર્શિબલ પંપ પર GST 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવે- નરેન્દ્ર પાંચાણીરાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું હતું કે, આ વખતનું બજેટ ખાસ રહેશે ગત વર્ષે USA દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. એન્જિનિયરીંગ સેકટરને એક તરફ માર પણ પડ્યો હતો એક્સપોર્ટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો પરંતુ બીજી તરફ GSTનું રિફોર્મેશન થયું તેનો સીધો ફાયદો અને લાભ પણ ઉદ્યોગપતિઓને મળ્યો છે. હજુ પણ આવતા દિવસોમાં જયારે બજેટ આવે ત્યારે રાજકોટ સાથ સંકળાયેલ એવા સબમર્સીબલ પંપ ઉપર છે GST દર છે તેને ઘટાડી 5% સુધી કરી દેવામાં આવે તેવી અમારી માંગ છે. આ ઉપરાંત ટેક્સ સ્લેબમાં પણ થોડો સુધારો કરવામાં આવે તેવી માંગણી છે અને સૌથી અગત્યનું કે રાજકોટમાં બે વર્ષથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું છે પણ ખાલી નામનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે કોઈ ફ્લાઇટ આંતરરાષ્ટ્રીય ચાલુ નથી માટે સરકારને વિનંતી છે કે, ફ્લાઇટ ઓપરેટરો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી આ એરપોર્ટને રન કરાવે. ફ્લાઇટ ઓપરેટરોનું જે ટેક્સ ડિડક્શન સરકાર આપશે તેનાથી 10 ગણું વધારે કમાઈને રાજકોટ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સરકારને આપશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કોઈપણ પોર્ટ નજીક એન્જિનિયરીંગ એક્સપોર્ટ પાર્ક બનાવો- સમીર વૈષ્ણવરાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના ડિરેક્ટર સમીરભાઈ વૈષ્ણવએ જણાવ્યું હતું કે, હું મેન્યુફેક્ચર અને એક્સપોર્ટના ઉદ્યોગ સાથે જોડાયેલો છું. મારી આવનાર બજેટને લઇ સરકાર પાસ આશા અપેક્ષા છે કે, એન્જિનિયરીંગ એક્સપોર્ટ પાર્ક એક કોઈ પણ પોર્ટ નજીક બનાવી દેવામાં આવે જેનો ફાયદો દરેક એક્સપોર્ટરોને થશે અને આ માંગ બધા જ એકપોર્ટરોની છે. આખા ભારતમાં આ રીતે કોઈ એક્સપોર્ટ પાર્ક નથી જર્મન, જાપાન, અમેરિકા સહિત મોટા ભાગના દેશોમાં આ સુવિધા છે માટે ભારતમાં પણ શરૂ કરવી જોઈએ. બીજી એક માંગ છે કે ઇન્ટ્રેસ્ટ સબસિડી 1% મળે છે તેને 5% સુધી કરવામાં આવે તેવી અમારી આશા અપેક્ષા છે અને ખાસ GST રિફંડ 30 દિવસે મળે છે તે જલ્દીમાં જલ્દી જેટલું વહેલું બની શકે તેટલું વહેલું મળે તેવી વ્યવસ્થા કરી આપે તો તેનો ઉદ્યોગકારોને ફાયદો થઇ શકે. હાર્ડવેર પર GSTનો દર ઘટાડીને 5 ટકા કરો- અશોક નસીતરાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના ડિરેક્ટર અશોકભાઈ નસીતએ જણાવ્યું હતું કે, હું હાર્ડવેરના ધંધા સાથે સંકળાયેલો છું. હાર્ડવેરની વસ્તુ એ ઘરમાં વોરંટી વસ્તુ છે સામાન્ય હેન્ડલ જેવી વસ્તુથી લઇ તમામ હાર્ડવેરની વસ્તુ કોઈ લકઝરી વસ્તુ નથી પરંતુ માણસના ઘર માટે વપરાતી જરૂરી વસ્તુ છે આના ઉપર GST 18% લેવામાં આવે છે તે ઘટાડી 5% કરવામાં આવે તેવી અમારી માંગ છે. રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનને આગામી વર્ષ 2026-27ના બજેટને અનુલક્ષી કેટલાક મુદ્દાઓ સમાવેશ કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં તેમને જણાવ્યું હતું કે, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન દેશનું સૌથી જૂનું અને સૌથી મોટું ઔદ્યોગિક સંગઠનો પૈકીનું એક એસોસિએશન છે અમારી સાથે 1,000થી વધુ ઔદ્યોગિક એકમો અને વિવિધ એન્જિનિયરિંગ ક્ષેત્રોના 500થી વધુ સહયોગી સભ્યો પ્રતિનિધિત્વ કરે છે. એન્જિનિયરિંગ અને MSME ક્ષેત્રો દ્વારા હાલમાં સામનો કરવામાં આવી રહેલા કેટલાક મુખ્ય પડકારો અંગે ધ્યાન દોરવા માંગીએ છીએ અને ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનના વ્યાપક હિતમાં, આગામી કેન્દ્રીય બજેટ 2026-27માં વિચારણા માટે મુખ્ય 6 મુદ્દાઓ રજૂ કરવા માંગીએ છીએ.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

ડિજિટલ અરેસ્ટની ઇનસાઇડ વિગતો પહેલી જ વાર:વીડિયો કૉલમાં એવું તે શું થયું કે, ONGCનાં મહિલા અધિકારીએ ₹1.36 કરોડ આપી દીધા?

તારીખ: 31 મે 2025 અમદાવાદમાં ONGCમાં ઉચ્ચ અધિકારી એવાં સંગમબેન (નામ બદલ્યું છે)ના મોબાઈલ ઉપર એક કૉલ આવ્યો. સંગમબેને ફોન હાથમાં લઈ સ્ક્રીન પર જોયું. નંબર અજાણ્યો હતો. છતાં તેમણે ઉપાડ્યો. ‘હેલ્લો?’ સંગમબેને કહ્યું. ‘તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે.’ સામેથી એક સ્ત્રીનો લગભગ ધમકીભર્યો અવાજ આવ્યો. હજુ તો સંગમબેન કશું બોલે કે રિએક્ટ કરે તે પહેલાં ફોન કટ થઈ ગયો. સંગમબેનને કશુંક અજુગતું લાગ્યું, એટલે એમણે એ જ નંબર પર સામેથી કૉલ કર્યો. આ વખતે કોઈ પુરુષે ફોન ઉપાડ્યો. ‘આ નંબર પરથી મને હમણાં કૉલ આવેલો.’ સંગમબેને પૂછ્યું. ‘ઓકે.’ સામેથી કોઈ પુરુષે ભારેખમ અવાજમાં જવાબ વાળ્યો. ‘કોણ છો તમે? અને મારો ફોન શા માટે બંધ થઈ જશે?’ સંગમબેને સ્વાભાવિક સવાલ કર્યો. ‘જુઓ હું TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા)માંથી રાકેશ શર્મા બોલું છું. થોડીવારમાં તમને અમારા સિનિયર ઑફિસરનો ફોન આવશે. રાહ જુઓ.’ કહીને ફરીથી ફોન કટ થઈ ગયો. સંગમબેનની અકળામણ વધી ગઈ. આ તમામ વાતચીત, ટોન બધું જ એકદમ સ્વાભાવિક લાગતું હતું. જે નંબર પરથી કૉલ આવ્યો હતો, તેમાં કોઈ ‘SPAM’ કે ‘આ ફોન ઉપાડશો નહીં’ એવી ચેતવણી પણ આવી નહોતી. સંગમબેને વિચાર્યું, હવે કૉલ આવે ત્યારે વિચારીશું. ‘યુ આર અન્ડર અરેસ્ટ’ થોડીવારમાં એમના પર એક વ્હોટ્સએપ વીડિયો કૉલ આવ્યો. સંગમબેને ઉપાડ્યો. વીડિયો કૉલનો કેમેરા ઑન થતાં જ એમને દેખાયું કે સામે પોલીસ યુનિફોર્મમાં એક ભાઈ બેઠા હતા. એમણે કડક અવાજે કહ્યું, ‘હું બોમ્બે CBIમાંથી વાત કરું છું. કેનેરા બેંકના એક અકાઉન્ટમાં બે કરોડ જેટલી બ્લેક મની આવી છે, જેની સાથે તમારું આધાર કાર્ડ લિંક થયેલું છે. યાને કે તમે પણ આ ફ્રોડમાં સામેલ છો, યુ આર અન્ડર અરેસ્ટ…’ *** ભણેલા, ઉચ્ચ અધિકારીઓ પણ કેવી રીતે ડિજિટલ થાય છે? ‘ડિજિટલ અરેસ્ટ’ નામનો શબ્દ પ્રયોગ છેલ્લાં બે-એક વર્ષમાં આપણે એટલી બધી વાર સાંભળ્યો છે કે આપણે લગભગ તેનાથી ટેવાઈ ગયા છીએ. મોબાઇલ ફોનના માધ્યમથી પોલીસ, CBI કે ઉચ્ચ અધિકારી હોવાનું કહીને સાયબર ગુનેગારો લાખો રૂપિયા પડાવી લે તે સમાચારો હવે લગભગ રોજનો ક્રમ બની ગયા છે. આપણને કદાચ એવું લાગે કે આ પ્રકારના ફ્રોડના ભોગ બનનાર લોકો વૃદ્ધો, ઓછું ભણેલા કે ગામડાંના લોકો હશે. પરંતુ આઠ મહિના પહેલાં અમદાવાદમાં ONGC જેવી ભારત સરકારની પબ્લિક સેક્ટર કંપનીમાં ઊંચા હોદ્દે બિરાજતાં અને અત્યંત શિક્ષિત અધિકારી પણ આ જાળમાં ફસાઈ ગયા હોવાની વાત જાણીએ ત્યારે આપણને આઘાત લાગે. સહેજે આપણને સવાલ થાય કે સાયબર ગઠિયાઓ એવી તે કેવી મોડસ ઓપરેન્ડી વાપરતા હશે, સામેની વ્યક્તિ પર એવું તે કયું વશીકરણ કરતા હશે કે તેઓ પોતાની જીવનભરની કમાણી આપી દેવા તૈયાર થઈ જાય! અહીં શરૂઆતમાં જેમની વાત કરી તે ONGCનાં ઉચ્ચાધિકારી સંગમબેને ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં પાંચ-પચ્ચીસ નહીં, બલકે પૂરા 1.36 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ગુમાવી! કઈ રીતે ચાલે છે ડિજિટલ અરેસ્ટનો આખો ખેલ? અને શું હોય છે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી? જાણીએ દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ના આજના એપિસોડમાં. *** ‘જે પૂછે તેનો સીધેસીધો જવાબ આપજો’ વ્હોટ્સએપ પર આવેલા વીડિયો કૉલમાં સામે પોલિસ યુનિફોર્મ પહેરીને બેઠેલા અધિકારીએ પોતાની ઓળખાણ CBI, મુંબઈના ઑફિસર તરીકે આપી અને કેનેરા બેંકમાં ઠલવાયેલા બ્લેક મનીમાં તેમનું આધાર કાર્ડ લિંક હોવાનું કહીને ‘યુ આર અન્ડર અરેસ્ટ’ કહી દીધું. સાથોસાથ એવું પણ કહ્યું, ‘અમારા સિનિયર ઑફિસર ફોન પર તમારી પૂછપરછ કરશે. એ તમને જે પૂછે તેનો સીધેસીધો જવાબ આપજો અને વિગતો માગે તો લખાવી દેજો.’ ફરીથી ફોન કટ. બધું જ વાંચતાં-સમજતાં, ભણેલાં-ગણેલાં અને દુનિયાથી વાકેફ હોવા છતાં સંગમબેનને કંઇક ભેદી અકળામણ થવા લાગી. તેમને થયું કે આ રીતે ફ્રોડના કિસ્સા છાશવારે થતા રહે છે, પરંતુ રખે ને આ કૉલ સાચો હોય તો? ધારો કે, બે કરોડ રૂપિયાના બ્લેક મનીના ફ્રોડમાં મારું આધાર કાર્ડ વપરાયું હોય, અને આ ફ્રોડને કારણે મારા કરિયરને ડાઘ લાગે તો? હવે આગળ શું કરવું? કોઇને વાત કરવી કે પડશે એવા દેવાશે એ ન્યાયે ચૂપ રહેવું? સંગમબેન આ ગડમથલમાં ફસાયેલાં હતાં ત્યાં જ ફરી પાછો એમના મોબાઇલમાં વ્હોટ્સએપ કૉલ રણક્યો. આ વખતે ઑડિયો કૉલ હતો. સંગમબેને કૉલ રિસીવ કર્યો. ‘તમારો ફોન અમારા ટ્રેકિંગમાં જ રહેશે, ઘરમાંથી બહાર નીકળશો નહીં’ ‘મારા કલીગે તમને માહિતી આપી એ પ્રમાણે, તમારી વિરુદ્ધમાં અરેસ્ટ વૉરંટ નીકળ્યું છે. જેથી તમારી વધારે પૂછપરછ કરવી પડશે. તમે તમારો ફોન બંધ કરતા નહીં. તમારા મોબાઈલ ફોનનું રિચાર્જ ઓછું હોય તો તમે પહેલાં રિચાર્જ કરાવી આવો. તમારો મોબાઈલ અમારા ટ્રેકિંગમાં જ રહેશે અને તમારા ઘરમાં કોઈને આવવા ન દેતા અને તમે પણ અમને પૂછ્યા વગર ક્યાંય જતાં નહીં. તમારે કોઈ નો ફોન પણ રિસીવ કરવાનો નથી.’ આ પ્રકારની વાતો સાંભળીને સંગમ બહેન ગભરાઈ ગયાં. બાદમાં તે અધિકારીએ પૂછપરછ શરૂ કરી. પહેલા સવાલમાં પૂછ્યું, ‘તમારા ઘરમાં કોણ કોણ છે?’ સામે સંગમ બહેને જવાબ આપ્યો, ‘હું અને મારી મમ્મી બંને એકલાં રહીએ છીએ.’ ‘તમારાં મમ્મીનો પણ નંબર આપો, તેને પણ ટ્રેકિંગમાં મૂકવો પડશે.’ સંગમ બહેને ડરતાં ડરતાં તેમનાં મમ્મીનો નંબર લખાવ્યો. ત્યારબાદ સામે છેડેથી કહેવાયું કે તમારે એક એપ્લિકેશન લખવી પડશે. હું તમને સમજાવું તેવી રીતે લખજો. અધિકારીના કહ્યા મુજબ સંગમ બહેને ગુજરાતીમાં રિક્વેસ્ટ એપ્લિકેશન લખીને તેમના વ્હોટ્સએપ નંબર પર મોકલી આપી. જેથી અધિકારીએ આ એપ્લિકેશન ઉપર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનો સિક્કો મારી સંગમ બેનને પરત મોકલી આપી. સુપ્રીમ કોર્ટ બાર એસો.ના નામની એપ્લિકેશન આવી હવે તો ‘સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન’નો સિક્કો વાગી ગયો હતો. સંગમબેનને પાક્કી ખાતરી થઇ ગઇ કે તેમની વિરુદ્ધમાં અરેસ્ટ વોરંટ નીકળ્યું છે. ત્યારબાદ અધિકારીએ કહ્યું, ‘જો તમારે અરેસ્ટ ન થવું હોય અને તમે ઇચ્છતાં હો કે અમે તમારી ફરિયાદનું નિરાકરણ જલ્દી લાવી દઈએ, તો અમારી પાસે એક રસ્તો છે…’ આવું કહીને ફોન કટ કરી નાખ્યો. કોઈ ઉપાય નહીં, કોઈ ચોખવટ નહીં. સંગમબેનને બિલકુલ અધવચ્ચે સસ્પેન્સમાં લટકાવીને સામે છેડેથી ફોન કપાઈ ગયો. ‘જસ્ટિસ ગોગાઈ સાહેબ તમારી સાથે વાત કરશે’ 1 જુન 2025 સંગમબહેનને ફરીથી વ્હોટ્સએપ પર એક કોલ આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે અમે તમને વ્હોટ્સએપ પર કેટલાક પ્રશ્નો લખીને મોકલીએ છીએ. તેના જવાબ તમે અમને લખીને મોકલી આપો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 2 જૂને સવારે 10:00 વાગ્યાની આસપાસ સંગમબહેનના મોબાઈલ પર ફરીથી એક વીડિયો કોલ આવ્યો સામેથી એક વ્યક્તિએ કહ્યું કે, ‘હું બોમ્બે CBIમાંથી મેનેજર બોલું છું. અમારા જજ ગોગાઈ સાહેબ તમારી સાથે વાત કરશે. તમે ફોન ચાલુ રાખજો. ત્યારબાદ થોડીવાર પછી જજ ગોગાઈ સાહેબ સ્ક્રીન પર પ્રગટ થયા, જે કોર્ટમાં બેઠા હતા. તેમણે સંગમ બહેનને પહેલાં પૂછ્યું તમારું આધાર કાર્ડ બતાવો. વીડિયો કોલમાં કોર્ટનો બધો માહોલ જોઈને સંગમ બહેન ગભરાઈ ગયાં હતાં, જેથી સંગમ બહેને તેમનું આધારકાર્ડ બતાવ્યું. સામે જજ સાહેબે પૂછ્યું કે, તમારા ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા છે? લીગલ છે કે નહીં? આની તપાસ માટે અમે એક ઓર્ડર લખ્યો છે. આ ઓર્ડર તમને વ્હોટ્સએપ પર મળી જશે, તમે તે વાંચી લેજો. ‘રિઝર્વ બેંક તમારા ₹36 લાખનું વેરિફિકેશન કરશે’ ત્યારબાદ સંગમબહેનને પૂછવામાં આવ્યું કે, તમારા ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે? સંગમબેને જવાબ આપતાં કહ્યું કે, મારા ખાતામાં 36 લાખ રૂપિયા છે. જજે કડક અવાજે કહ્યું, ‘રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તમારા આ રૂપિયાનું વેરિફિકેશન કરશે.’ બાદમાં આ જજે સંગમ બહેનને ડરાવી ધમકાવીને ‘ઇન્ડસઇન્ડ બેંક’ના એક એકાઉન્ટની માહિતી આપી અને કહેવામાં આવ્યું કે તમે વેરિફિકેશન માટે આ ખાતામાં 36 લાખ રૂપિયા નાખી દો. આ એકાઉન્ટ ‘એ. આર. ઈન્ફોટેક’ના નામે હતું. સંગમબહેન ગભરાઈ ગયાં હતાં એટલે તાત્કાલિક તેઓ તેમની બેંકમાં પહોંચ્યા અને RTGS મારફતે ઇન્ડસઇન્ડ બેંકમાં 36 લાખ રૂપિયા તે જ ક્ષણે ટ્રાન્સફર કરાવી આપ્યા. ‘તમારી ₹35 લાખની FDનું પણ વેરિફિકેશન કરવું પડશે’ પરંતુ આ સિલસિલો અહીંથી ન અટક્યો. આ રૂપિયા ટ્રાન્સફર કર્યાના ત્રીજા દિવસે એટલે કે 3 જૂનના રોજ સંગમબેનને ફરીથી એક વ્હોટ્સએપ કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે, ‘તમારી પાસે જે FD (ફિક્સ્ડ ડિપોઝિટ) છે તેનું પણ વેરિફિકેશન કરવું પડશે. તમને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો એક એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ. તેમાં આ પૈસા ટ્રાન્સફર કરી નાખજો.’ આવું સાંભળીને સંગમબેન ખૂબ જ ગભરાઈ ગયાં અને ફરીથી તેમની બેંકમાં ગયા અને અને પોતાના ખાતામાંથી બેંક ઓફ મહારાષ્ટ્રવાળા ખાતામાં 35 લાખ રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કરી દીધા. ‘₹15 લાખ ટ્રાન્સફર કરી આપો’ 3 જૂન બાદ 4 જૂને સંગમ બહેનને ફરી એક વ્હોટ્સએપ કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે, ‘તમારી પાસે બાકી રહેલી FDનું પણ વેરિફિકેશન કરવું પડશે. હાલમાં તમે ઇન્વેસ્ટિગેશનમાં છો. આની જાણ તમે કોઈને કરતાં નહીં. અમે તમને બેન્ક ઓફ મહારાષ્ટ્રનું અન્ય એક ખાતું મોકલી આપીએ છીએ. તેમાં તમે પૈસા ટ્રાન્સફર કરી નાખો. ગભરાયેલાં સંગમબેન ફરી પોતાની બેંકમાં ગયાં અને સામેથી આવેલા બેંક ઑફ મહારાષ્ટ્રના એકાઉન્ટ નંબરમાં બીજા 15 લાખ રૂપિયા RTGS કરી નાખ્યા. ‘તમારાં મમ્મીનું એકાઉન્ટ પણ ચેક કરવું પડશે’ આ રીતે સંગમબહેને ત્રણ દિવસમાં 86 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પાંચ જૂનના રોજ ફરી સંગમ બહેનને વ્હોટ્સએપ કોલ આવ્યો. આ વખતે તેમને કહેવામાં આવ્યું કે તમારાં મમ્મીના બેન્ક એકાઉન્ટનું પણ વેરિફિકેશન કરવું પડશે. અમે તમને યસ બેન્કનો એક એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ, જેમાં તમે રૂપિયા ટ્રાન્સફર કરી દો. સંગમબહેન તો પહેલેથી જ ગભરાયેલાં હતાં. તેમને CBIમાંથી વોરંટ નીકળશે તેવી બીક હતી એટલે તેમનાં મમ્મીને લઈને પોતાની બેંકમાં પહોંચી ગયાં અને યસ બેન્કના એકાઉન્ટમાં બીજા 35 લાખ રૂપિયા RTGS કરી નાખ્યાં. છ દિવસમાં સંગમ બહેને ₹1.36 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં! પછી 6 જૂને સંગમબેનને વ્હોટ્સએપ કોલ પર ફરી ફોન આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે, તમારી મમ્મીના એકાઉન્ટમાં રહેલી બાકી FDનું પણ વેરિફિકેશન કરવું પડશે. અમે તમને મહારાષ્ટ્ર બેંકનો એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ. તેમાં તમે બીજા રૂપિયા નાખી દેજો. સંગમ બહેન તેમનાં મમ્મીને લઈને ફરી પોતાની બેંકમાં ગયાં અને બીજા 15 લાખ રૂપિયા મહારાષ્ટ્ર બેંકના એકાઉન્ટ નંબર પર ટ્રાન્સફર કરી દીધા. થોડા સમય પછી સંગમબેનને ફરીથી ફોન આવ્યો. આ વખતે તેમને કહેવામાં આવ્યું કે તમારા રૂપિયાનું વેરિફિકેશન થઈ ગયું છે. તમારા રૂપિયા કોઈ બ્લેક મની નથી. આ તમામ પૈસા તમને પાછા મળી જશે. આવું સાંભળતાં જ સંગમબેનને હાશકારો થયો. પરંતુ અત્યાર સુધીમાં સંગમબેને તે અજાણ્યા કૉલર્સ અને CBIના કથિત અધિકારીઓને 1 કરોડ ને 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા! ‘પૈસા પાછા જોઇતા હોય તો બીજા ₹50 લાખ ભરવા પડશે!’ હવે તેમની સમક્ષ નવો પાસો ફેંકવામાં આવ્યો. તેમને કૉલ પર કહેવામાં આવ્યું કે, ‘જો આ તમામ રૂપિયા તમારે પરત લેવા હોય તો બેઇલ સિક્યુરિટી તરીકે બીજા 50 લાખ રૂપિયા ભરવા પડશે.’ ફરી પાછી આટલા બધા રૂપિયાની માગણી થતાં સંગમ બહેને કહ્યું કે, હવે મારી પાસે આટલા બધા રૂપિયા નથી. હું બેંકમાંથી લોન લઈને પછી તમને શાંતિથી જણાવીશ. સંગમબહેન હેરાન પરેશાન થઈ ગયાં હતાં. એક તો તેમણે પોતાના આખા જીવનની કમાણી સમી 1 કરોડ 36 લાખ રૂપિયા જેટલી પ્રચંડ મોટી રકમ અજાણ્યા લોકોને ટ્રાન્સફર કરી દીધી હતી. હવે તેને પરત લેવા માટે બીજા 50 લાખ આપવાના હતા! ‘દીકરી, તારી સાથે બહુ મોટો ફ્રોડ થયો છે’ સંગમબેનનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. હતાશ થયેલાં સંગમબેને પોતાના મામાને આ સમગ્ર ઘટનાની માહિતી આપી. મામા વૃદ્ધ હતા, પરંતુ ભણેલા, હોશિયાર અને જમાનો જોયેલા હતા. તેઓ આજના ટેકનોલોજીના જમાનામાં બનતા ફ્રોડથી માહિતગાર પણ હતા. મામાએ સમગ્ર પ્રકરણ જાણીને તરત કહ્યું કે, ‘દીકરી, તારી સાથે એક મોટો ફ્રોડ થયો છે. તને છેતરીને આટલી મસમોટી રકમ પડાવી લેવામાં આવી છે.’ આ સાંભળતાં જ સંગમબહેનના પગ તળેથી જમીન ખસી ગઈ. તેમની જીવનભરની મરણ મૂડી એકઝાટકે ખાલી થઈ ગઈ હતી. સંગમબેન રડવા લાગ્યાં. મામાએ તેમને હિંમત આપતાં કહ્યું, ‘આપણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવી પડશે.’ સંગમ બહેને અમદાવાદ સાયબર ક્રાઈમમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં ₹1.36 કરોડની રકમ ગુમાવી હોવાની ફરિયાદ નોંધાવી. બંધન બેંકવાળો નિશાંત રાઠોડ કોણ હતો? છ દિવસમાં જ આટલી મોટી રકમનો ફ્રોડ થયાની ફરિયાદ મળતાં જ અમદાવાદ સાયબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર સી. ટી. દેસાઈની ટીમે તપાસ શરૂ કરી, જેમાં જાણવા મળ્યું કે, 1 કરોડ 36 લાખ રૂપિયા જે અલગ અલગ એકાઉન્ટમાં ગયા છે તેમાંથી 25 લાખ રૂપિયા કોઈ નિશાંત રાઠોડના નામના ‘બંધન બેન્ક’ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. તેના આધારે સાયબર ક્રાઇમ નિશાંત રાઠોડ સુધી પહોંચી. નિશાંત રાઠોડની પૂછપરછ કરતાં જાણકારી મળી કે, તેણે યશ પટેલના કહેવાથી વસ્ત્રાપુરમાં આવેલી બંધન બેન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. પોલીસે આ યશ પટેલને પણ ઉઠાવી લીધો. આ બંનેની તપાસ કરતાં સામે આવ્યું કે નિશાંત અને યશની સામે અગાઉ પણ ઓનલાઇન છેતરપિંડી બાબતે વડોદરા સાયબર ક્રાઇમમાં ગુના નોંધાયેલા છે. વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓ અહીં ફ્રોડ કરતા નિશાંત અને યશ દ્વારા પોલીસ અન્ય આરોપીઓ કુલદીપ, હિતેશ, જગદીશ અને સિદ્ધરાજ સુધી પહોંચી. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે, યશ પટેલે આ બેંક એકાઉન્ટ કુલદીપ, હિતેષ, જગદીશ અને સિદ્ધરાજને ઓપરેટ કરવા માટે આપ્યાં હતાં. તે એકાઉન્ટ વિદેશથી ઓપરેટ થતાં હતાં. આ લોકો વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબર પ્રોવાઇડ કરતા હતા, જેમાં તેમને મોટું કમિશન મળતું હતું. અને જે અધિકારી કે જજ બનીને વાત કરતા હતા તે વિદેશમાં બેસીને આખું રેકેટ ચલાવતા હોય છે અને ફ્રોડના રુપિયા USDT દ્વારા વિદેશમાં મેળવી લેતા હોય છે. સંગમ બહેનને પોતાના રૂપિયા પરત મળ્યા ખરા? આ મામલે અમે ફરિયાદી સંગમ બહેન સાથે ટેલિફોનિક વાતચીત કરી. આટલા મહિના પછી પણ તેઓ પોતાની સાથે થયેલા આ ફ્રોડના આઘાતમાંથી બહાર આવ્યાં નહોતાં. આથી તેમણે મીડિયા સાથે વધુ વિગત આપવાની ના પાડી. પરંતુ અમે તેમને મુદ્દાનો એક સવાલ પૂછ્યો, ‘ઓકે, અમે તમારી ચિંતા અને મનોસ્થિતિ સમજીએ છીએ, પણ તમે એટલું કહી શકો કે તમારા ગયેલા રૂપિયા પરત મળ્યા કે કેમ?’ ખચકાતા અવાજે સંગમ બહેને કહ્યું કે, ‘કુલ રકમમાંથી અમુક રુપિયા પરત મળી ગયા છે, જ્યારે બાકીના હજી સુધી નથી મળ્યા.’

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

સંઘવીએ વખાણ કર્યાં ને કૌશિક વેકરીયા શરમાયા:ગુજરાત ભાજપના નેતાઓએ પોસ્ટરમાં લોચો માર્યો, રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ 'નબીન કે નવીન' એ નક્કી ના કરી શક્યા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

લગ્નમાં બગી, ફટાકડા અને નોટો ઉડાડવા પર પ્રતિબંધ:મહેમાન પણ નિયમ તોડે તો ઘરઘણીને દોઢ લાખનો દંડ; સગાઈ, મામેરા, મરણપ્રસંગ માટે ભરવાડ સમાજનું ‘બંધારણ’

આજના સમયે દેખાદેખી, વટ પાડવા અને પોતાને બીજાથી સવાયા બતાવવાની ઘેલછામાં લોકો પાણીની જેમ રૂપિયા વાપરતા ખચકાતા નથી. એમાં પણ પ્રસંગોમાં તો ખર્ચનો આંકડો લાખોમાં પહોંચે છે. આવી પરિસ્થિતિ અને ભવિષ્યના પડકારોનો અંદાજો લગાવીને ગુજરાતના વિવિધ સમાજોના આગેવાનો ઘણા ચિંતિત દેખાઈ રહ્યા છે. લોકો આડાપાટે ન ચડે એ માટે અલગ-અલગ જિલ્લાઓમાં વસતા પાટીદાર, ઠાકોર, રબારી અને બ્રહ્મ સમાજે ઘણા નિયમો ઘડ્યા છે. હવે રિત-રિવાજોમાં સુધારા કરીને સમય સાથે તાલ મિલાવવા માટે ભરવાડ સમાજે પણ પોતાના બંધારણમાં ફેરફાર કર્યો છે. દિવ્ય ભાસ્કરે ચરેલ ગામે પહોંચીને સમસ્ત સાણંદ તાલુકા ભરવાડ સમાજ (25+12 પરગણા)ના મહંત પ્રતાપપુરી બાપુ તેમજ ભરવાડ સમાજના આગેવાનો સહિત ઘણા લોકો સાથે વાતચીત કરી. તેમણે પાસેથી એ જાણવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો કે ભરવાડ સમાજમાં અત્યારે સામાજિક ધોરણે કેવા પરિવર્તનો લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને તેની જરૂરિયાત ઉભી થવા પાછળના કારણો શું છે. અમને જાણવા મળ્યું કે વર્ષોથી સમાજની શરમના નામે ચાલી આવતી ઘણી ઋઢી અને આધુનિક સમયમાં દેખાદેખીના કારણે શરૂ થયેલી પ્રવૃત્તિને લઈને તેમણે ખૂબ ગંભીરતા દાખવી છે અને કડક નિયમો સહમતીથી લાગુ કર્યા છે. છેલ્લા સાતેક વર્ષથી ચરેલ ખાતે સેવા આપી રહેલા મહંત પ્રતાપપુરી બાપુએ જણાવ્યું, અમારી મુખ્ય ગુરુગાદી થરા છે, જેની બે શાખાઓમાં દ્વારકા અને ચરેલનો સમાવેશ થાય છે. ગોપાલક ભરવાડ સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એ હેતુથી નવા સામાજિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સમાજમાં દીકરીના પૈસા લેવા અને પ્રસંગોમાં થતી આંધળી દેખાદેખી વધી ગઈ છે. તેને દૂર કરવી જરૂરી છે. સમાજ એકજૂથ બને અને દીકરા-દીકરીઓ ભણી-ગણીને આગળ વધે એ માટે ખાસ બેઠક યોજીને વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. સાણંદ તાલુકામાં ભરવાડ સમાજની અંદાજે 20થી 25 હજારની વસતિ છે. સમાજમાં સુધારા લાવવા માટે આશરે 40થી વધુ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે. દરેક ગામમાં જઈને લોકોને સમજાવવામાં હતા. ત્યારે ઘણો સારો સહકાર મળ્યો. હવે આ અભિયાનને ગુજરાત કક્ષાએ લઈ જઈ શિક્ષણ, વ્યસનમુક્તિ અને આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું આયોજન છે. ભરવાડ સમાજ માટે નવું બંધારણ બનાવવામાં અનેક લોકોની મહત્વની ભૂમિકા રહી છે. આવા જ એક સામાજિક કાર્યકર રાજુભાઈ ભરવાડ અમને મળ્યા. તેઓ મૂળ મોડાસાના અને હાલ બાવળામાં રહે છે. રાજુભાઈ ભરવાડે સાણંદ તાલુકાના 36 ગામોના ભરવાડ સમાજનો આભાર માનતા કહ્યું, બાપુના આહ્વાનથી મિટિંગનું આયોજન કર્યું હતું. સમાજે કુરિવાજો ત્યાગવાનો મક્કમ નિર્ણય લીધો છે તેનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. સાણંદ તાલુકાના 36 ગામોના ભરવાડ સમાજનો સહકાર મળ્યો છે. રાજુભાઈએ વધુમાં ઉમેર્યું કે, સાણંદ તાલુકામાં એક વર્ષ પહેલાં અમે શરૂઆત કરી હતી. અમારું સારું કામ જોઇને સમાજને ભરોસો આવ્યો કે અન્ય વિસ્તારમાંથી પણ અમને સાથ-સહકાર મળશે. ઘણી જગ્યાએથી અમારી પર ફોન આવે છે. અમારી પાસેથી માહિતી મેળવે છે. મૂળ દદુકાના વતની અને હાલ અમદાવાદ સ્થિત કાળુભાઈ ભરવાડે જણાવ્યું કે, આ બંધારણનો મુખ્ય હેતુ સામાજિક કુરિવાજો અટકાવવાનો છે. આઠેક મહિના પહેલાં ગુરુપૂર્ણિમાના અવસરે મળેલી બેઠકમાં અંદાજે 40 જેટલા ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો નિર્ણય એ છે કે અગાઉ સગાઈ કે 'ગોળ ખાવા' જતી વખતે 400થી 500 માણસોને લઈ જવામાં આવતા હતા. આ રિવાજને બદલે હવે માત્ર 21 વ્યક્તિઓને જ સાથે લઈ જવાનો નિયમ ઘડ્યો છે. આ ઉપરાંત લગ્નપ્રસંગોમાં ઘોડી, ડીજે, ગાયક કલાકાર બોલાવીને બિનજરૂરી ખર્ચ થાય છે. પ્રિવેન્ડિંગના વેસ્ટર્ન કલ્ચરનો પણ આપણે ત્યાં વ્યાપ વધ્યો છે. એટલે પ્રિ-વેડિંગ શૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ નિયમોનું પાલન સ્વૈચ્છિક રીતે થઈ રહ્યું છે છતાં જો કોઈ નિયમભંગ કરે તો મહંતપ્રતાપપુરી બાપુના અધ્યક્ષ સ્થાને લીધેલા નિર્ણય મુજબ 1 લાખ 51 હજાર રૂપિયાનો દંડ મંદિરની જગ્યામાં જમા કરાવવાનો રહેશે. આ બંધારણ અંગે ગુરુપૂર્ણિમાથી મૌખિક નક્કી કર્યું હતું. ત્યારથી બધું લગભગ હજુ સુધી દરેક પ્રસંગોમાં બંધારણનો 100 ટકા અમલ થયો છે. હજુ સુધી કોઇએ નિયમ તોડ્યો નથી. પીપણ ગામના માતમભાઇ ભરવાડે સમાજની વાસ્તવિકતા જણાવતા કહ્યું, અત્યારે અમારા સમાજમાં દેખાદેખી અને બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. જ્યાં માત્ર 2 રૂપિયા ખર્ચવાની જરૂર હોય ત્યાં લોકો 50 રૂપિયા વાપરતા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનો, વડીલો અને ગુરુની આજ્ઞાથી 36 ગામના પ્રતિનિધિઓએ ભેગા મળીને એક નવું સામાજિક 'બંધારણ' ઘડ્યું છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્નપ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અટકાવવાનો છે. મરણના પ્રસંગે 12 દિવસ સુધી મહેમાનોની અવરજવર ચાલુ રહેતી હતી અને આટલા દિવસ સુધી જમણવાર પણ ચાલુ રહેતો હતો. એટલું જ નહીં, ક્યારેક 200 લોકોનું ભોજન બનાવ્યું હોય અને માત્ર 50 લોકો જ આવે, ક્યારે ઓછું ભોજન રાંધ્યું હોય તો વધારે લોકો આવી જાય એવું પણ બનતું હતું. જેથી અનાજનો બગાડ થતો અને ક્યારેક ઢોરને ખવડાવી દેતા હતા. આ ઉપરાંત મહેમાન આવે એટલે પરિવારે આખો દિવસ ફાળવવો પડતો હતો. આમ, 12 દિવસ બેસી રહેવું પડતું હતું. એટલે હવે માત્ર બે જ દિવસનો સમય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. એમાં પણ જેને એક દિવસ કરવું હોય તો એ રાખી શકે. સમાજના ધર્મગુરુ અને આગેવાનોએ ઘડેલા નિયમો બાબતે મહિલાઓ શું માને છે એ જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો. મંદિરે દર્શના કરવા આવેલાં સાણંદ તાલુકાના દદુકા ગામના ભાનુબેને જણાવ્યું, પહેલાં ઘણું બધું ખોટું થતું હતું. જેના કારણે મધ્યમ વર્ગના લોકોની હાલત ખરાબ થઈ જતી હતી. એટલે આ જે નિર્ણય લેવાયો છે તે સાચો અને સારો છે. બંધારણમાં કરાયેલાં સુધારા અંગે તેમણે કહ્યું, લગ્નપ્રસંગ ધામધૂમથી કરતા હતા. જમણવારમાં બગાડ બહુ થતો હતો. અન્ય લોકોને એવું થતું હતું કે અમારે ત્યાં પ્રસંગ આવશે તો શું થશે? એટલે આ નિર્ણય સારો છે. જેમ બને તેમ બધું ઓછું કરવું જોઇએ. અમારા સમયમાં તો આવા નિયમો ન હતા એટલે ઘણો ખર્ચ કરવો પડતો હતો. હવે આ નિયમો બધાએ પાળવા પડશે. સૌએ સહમતિ રાખવી પડશે. અમારા બાળકોને અમે સમજાવીશું અને અમલ કરાવીશું. મોતીપુરા ગામના રહીશ અને ચરેલ ગામે દર્શન કરવા આવેલાં મંજુબેને કહ્યું, લગ્ન પ્રસંગોમાં 10થી 15 લાખ રૂપિયા જેવો જંગી ખર્ચ થતો હતો. જેના કારણે અનેક પરિવારો દેવાદાર બની જતા હતા. અમીર અને ગરીબ વચ્ચેની આ ખાઈ પૂરવા અને સૌને સમાન સ્તર પર લાવવા માટે આ બંધારણ અમલમાં મૂકાયું છે. ગરીબ પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્તિ અપાવવા માટે લેવાયેલો આ એક ક્રાંતિકારી નિર્ણય છે. થોડા દિવસ પહેલાં સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે મારા સૌ વડીલો, આજે જ્યારે આટલા સરસ સમૂહલગ્નનું આપણે આયોજન કર્યું છે, સમાજની આપણે જે વિચાર છે, જે વિચારધારા છે, જે આપણા રૂઢીચુસ્ત વિચારો છે, તેમાં ધીરે-ધીરે કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારો અને તે રીતના નિયમો તરફ પણ તમે સૌ લોકો આગળ વધો એવી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અનેક સમાજે પોતાના ‘બંધારણ’ ઘડ્યા અથવા તેમાં ફેરફાર કરવાની પ્રવૃત્તિમાં નોંધનીય વધારો થયો છે. જે સૂચવે છે કે આધુનિક સમયમાં લોકોની બદલાતી જીવનશૈલી બાબતે આગેવાનો મંથન કરી રહ્યા છે અને તેના ગંભીર પરિણામોનો અંદાજો લગાવી ચૂક્યા છે. જો કે સિક્કાની બીજુ બાજું એ પણ છે કે કેટલાક લોકો આવા કડક નિયમોને વ્યક્તિની સ્વતંત્ર અને ખુશી મનાવવાના ઇરાદા પર કાપ મૂકવાના દૃષ્ટિકોણથી પણ જોઈ રહ્યા છે. જો કે ભરવાડ સમાજે બનાવેલા નવા નિયમોનું કડક પાલન થઈ રહી હોવાનું પણ આગેવાનોએ દાવો કર્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યુ

- મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકારણમાં હડકંપ : 'દાદા' ચૂંટણી પ્રચાર માટે મુંબઈથી રવાના થયા અને બારામતી પહોંચતા જ કરૂણાંતિકા સર્જાઈં - પૂઅર વિઝિબિલિટીના કારણે રન વે નહિ દેખાયો હોવાની પાયલોટની ફરિયાદ બાદ પહેલું લેન્ડિંગ ફેઈલ ગયું, બીજા પ્રયાસ વખતે વિમાન તૂટી પડયું - અકસ્માતમાં પાયલોટ, કો-પાયલોટ સહિત અન્ય ચારનાં પણ મોત - ચાર્ટર્ડ વિમાન દિલ્હીની વીએસઆર વેન્ચર્સ કંપનીની માલિકીનું હતું મુંબઈ : મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ માટે ભારે આંચકાજનક એક ઘટનામાં આજે સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પુણે જિલ્લામાં તેમના વતન બારામતી ખાતે એક વિમાન દુુર્ઘટનમાં મોત નીપજ્યું હતું.

ગુજરાત સમાચાર 29 Jan 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન; અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- અપમાન કરનારાને પાઠ ભણાવીશું, ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રની આત્મહત્યા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવ્યા. ડેપ્યુટી સીએમ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. બીજા સમાચાર અવિમુક્તેશ્વરાનંદના રહ્યા, જેમણે માઘ મેળાને છોડતી વખતે કહ્યું કે તેઓ તેમનું અપમાન કરનારાઓને પાઠ ભણાવશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદમાં બજેટ સત્રનો બીજો દિવસ. આજે નાણામંત્રી ઈકોનોમિક સર્વે (આર્થિક સર્વેક્ષણ) રજૂ કરશે. 2. નવી દિલ્હીના વિજય ચોક પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન, આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. બુધવારે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા છે. પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે જનસભાને સંબોધવા બારામતી જઈ રહ્યા હતા. તેઓ મુંબઈથી સવારે 8.10 વાગ્યે રવાના થયા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાઇલટે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહીં એટલે તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અવિમુક્તેશ્વરાનંદ માઘ મેળો છોડીને રવાના થયા:કહ્યું- સ્નાન કર્યા વિના દુઃખી મને પાછા ફરવું પડી રહ્યું છે, આવી કલ્પના પણ નહોતી કરી શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પ્રયાગરાજ માઘ મેળો છોડી દીધો છે. તેઓ કાશી જવા રવાના થયા છે. આ પહેલાં, તેમણે બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- આજે મન એટલું વ્યથિત છે કે અમે સ્નાન કર્યા વિના જ વિદાય લઈ રહ્યા છીએ. પ્રયાગરાજ હંમેશાથી આસ્થા અને શાંતિની ભૂમિ રહી છે. શ્રદ્ધા સાથે અહીં આવ્યો હતો, પરંતુ એક એવી ઘટના બની ગઈ, જેની મેં ક્યારેય અપેક્ષા રાખી ન હતી. તેમણે કહ્યું- આ ઘટનાએ મારી આત્માને હચમચાવી દીધી. આનાથી ન્યાય અને માનવતા પ્રત્યે મારો વિશ્વાસ નબળો પડ્યો છે. મારે જે કહેવું હતું, તે કહી ચૂક્યો છું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ચાંદીમાં આગ ઝરતી તેજી, બે જ દિવસમાં ₹44,000 મોંઘી થઈ:સોનામાં પણ ઉછાળો, ₹1.63 લાખની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો ચાંદી-સોનાના ભાવ સતત ત્રીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે. આજે 28 જાન્યુઆરીએ એક કિલો ચાંદીની કિંમત 17,257 રૂપિયા વધીને 3,61,821 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) એ આ માહિતી આપી છે. બે દિવસમાં ચાંદીની કિંમત 44,116 રૂપિયા મોંઘી થઈ છે. આ પહેલા શુક્રવારે તેની કિંમત ₹3,17,705 રૂપિયા પ્રતિ કિલો હતી. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 28 દિવસમાં જ તે 1.31 લાખ રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 4,926 રૂપિયા વધીને 1,63,827 રૂપિયા પર પહોંચી ગયો છે. બે દિવસમાં સોનું 9,517 રૂપિયા મોંઘું થયું છે. આ પહેલા સોનાનો ભાવ 23 જાન્યુઆરીએ 1,54,310 રૂપિયા/10g હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સંસદમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ, 45 મિનિટ સ્પીચ આપી:VB- જી રામજીના કાયદાનો ઉલ્લેખ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો, કાયદો પાછો ખેંચોના નારા લગાવ્યા 18મી લોકસભાના બજેટ સત્રનો પ્રથમ ભાગ બુધવારે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થયો. રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર દેશમાં આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે. સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો સામનો કરવામાં સફળ રહી છે. રાષ્ટ્રપતિએ 45 મિનિટના ભાષણમાં VB- જી રામ જી કાયદાનો પણ ઉલ્લેખ કર્યો. આના પર વિપક્ષે હોબાળો કર્યો અને કાયદો પાછો ખેંચોના નારા લગાવ્યા. બીજી તરફ, NDA સાંસદોએ સમર્થનમાં નારા લગાવ્યા. પીએમ મોદી અને અમિત શાહ પણ ટેબલ થપથપાવતા જોવા મળ્યા. બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. MP-યુપી અને રાજસ્થાનમાં વરસાદ સાથે કરા પડ્યા:ઉત્તરાખંડમાં હિમવર્ષા, 8 જિલ્લામાં શાળાઓ બંધ; સોનમર્ગમાં હિમપ્રપાત, ઘણા રિસોર્ટ બરફમાં દટાયા દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યો, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આના કારણે મંગળવારથી વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. યુપી, રાજસ્થાન, મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદની સાથે કરા પણ પડ્યા. રાજસ્થાનમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા. એમપીના ગ્વાલિયર-શિવપુરીમાં 8મા ધોરણ સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુપીમાં ભયંકર ઠંડી અને વરસાદના કારણે સંભલમાં 8મા ધોરણ સુધી અને સિદ્ધાર્થનગરમાં શાળાઓ આજે બંધ છે. રાજ્યના 29 જિલ્લાઓમાં આજે પણ કરા અને વરસાદનું એલર્ટ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અમદાવાદ–મહેસાણા વચ્ચે રાજ્યનો પહેલો 8 લેન હાઈ-વે બનશે:8 ફ્લાય ઓવર અને 8 અંડર પાસ બનશે, 1 લાખ વાહન ચાલકોને ફાયદો, કેબિનેટની મંજૂરી રાજ્ય સરકારે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વપૂર્ણ અમદાવાદ-મહેસાણા હાઇવેના 51 કિ.મી. લાંબા હાઈ-વેને 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય (8-લેન)માં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની જનતાને ઝડપી, સલામત અને આરામદાયક પરિવહનની સુવિધા મળશે તેમજ વર્ષોથી ચાલતી આ માંગ પણ પૂરી થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંધીનગરના બિલ્ડરના પુત્રની આત્મહત્યા, 13 દિવસ પહેલાં લગ્ન થયા હતા:ઋષભ પટેલની લાશ કડીમાંથી મળી, સુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં શખસોએ માર માર્યોનો ઉલ્લેખ ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના ગુમ થવાના મામલે દુ:ખદ વળાંક આવ્યો છે. ગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ આજે કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પટેલના 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. ગત 25 જાન્યુઆરીએ પોતાની સાઈટ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલા બહુચર પાન પાર્લર પાસે ઋષભની ગાડી બિનવારસી મળી આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેશભરમાં UGCના નવા નિયમોનો વિરોધ:યુપીમાં સવર્ણ યુવકોએ મુંડન કરાવ્યું, બિહારમાં ફાંસીની માગ; સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકી અધિકારીએ કહ્યું- EU સાથે ડીલથી ભારતને વધુ ફાયદો:યુરોપના બજાર સુધી પહોંચ મળશે, ટેલિગ્રાફે લખ્યું- PM મોદી ટ્રેડ ડીલના અસલી વિજેતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જયપુરઃ એર ઇન્ડિયાની ફ્લાઇટ રનવેને સ્પર્શીને ફરી ઊડી:10 મિનિટ પછી સફળ લેન્ડિંગ, પ્લેનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી સુખજિંદર રંધાવા સવાર હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જેલમાં બંધ ઈમરાન આંધળા થઈ જશે! CRVO નામની બીમારી, તાત્કાલિક સારવાની જરૂર; પાક. સરકારે કહ્યું- જેલમાં જ સારવાર કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 17 બ્રાન્ડની ગાડી સસ્તી થશે:મર્સિડીઝ-BMW-વોલ્વો સહિતની ઇમ્પોર્ટેડ કારની કિંમત ઘટશે, યુરોપિયન કાર પર ડ્યુટી 110%થી ઘટીને 10% થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અભિષેક શર્મા સતત 6 મહિનાથી T20 ટૉપ બેટર:કેપ્ટન સૂર્યાની એક મહિના પછી ટૉપ-10માં વાપસી, ઓલરાઉન્ડર્સમાં હાર્દિક ત્રીજા નંબરે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 1 ફેબ્રુઆરીએ મહા મહિનાનું મહાપર્વ:મકરસંક્રાંતિ જેવું જ સ્નાન-દાનનું મહત્ત્વ, સૂર્ય અને ચંદ્ર પૂજાનું વિધાન વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મુંબઈનો અનોખો ફ્લાયઓવર મુંબઈમાં એક અનોખો ડબલ ડેકર ફ્લાયઓવર બન્યો છે. જેની શરૂઆત 4 લેનથી થાય છે, પરંતુ આગળ જતાં તે અચાનક 2 લેનનો બની જાય છે. 100 કરોડના ખર્ચે બનેલા આ ફ્લાયઓવરની એન્જિનિયરિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, ભાજપ સરકારમાં આવા જીવલેણ ચમત્કારો સામાન્ય વાત છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: અજિત પવારના નિધનથી ઉભા થયેલા 5 સવાલોના જવાબ; NCPના 41 ધારાસભ્યો કઈ તરફ જશે, શું પત્ની બનશે નવી Dy. CM? 2. ડિજિટલ ડાકુ-3 : ‘અમદાવાદી પ્રણયના ખાતામાં રાતોરાત 48 લાખ ક્યાંથી આવ્યા?’: એકાઉન્ટ ભાડે લઇને સાયબર ફ્રોડના પૈસા ઠાલવવાનો ખેલ, ચીની ગેંગ કિડનેપ કરીને નેપાળમાં ગોંધી રાખે 3. ભાસ્કર એક્સપ્લેનર : 'રનવેથી 100 ફૂટ ઉપરથી જ પડવા લાગ્યું હતું': અજિત પવારનું લિયરજેટ પ્લેન કેવી રીતે ક્રેશ થયું, પ્લેનમાં ખામી કે પાઇલટની ભૂલ 4. ભાસ્કર એક્સક્લૂસિવ : ગેંગ્સ ઓફ મ્યાવડ્ડી; 1 લાખ સેલેરી-બંગલાની ઓફર, મળી ગુલામી: 16 ભારતીયો ફસાયા, 18 કલાક કામ ન કરે, તો લોખંડના સળીયાથી ફટકારે છે 5. જ્યારે વોશરૂમમાં એક કોલથી પક્ષ બદલ્યો: અજિત પવારના કિસ્સાઓ, જેમણે 6 વખત ડેપ્યુટી CM તરીકે શપથ લીધા; આજે પ્લેન ક્રેશમાં નિધન 6. એક જ કેસમાં રેપિસ્ટને ડબલ ફાંસીની સજા: ખંભાતમાં બેસતા વર્ષના દિવસે 7 વર્ષની બાળકી પર કર્યું હતું દુષ્કર્મ, FSL રિપોર્ટે કેસની થિયરી ફેરવી દીધી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન રાશિ માટે પ્રોપર્ટીમાં રોકાણનો શ્રેષ્ઠ સમય, મેષ-તુલા રાશિના લોકો પ્રગતિની સીડી ચડશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:00 am

આવેદનપત્ર:પાટણ કોંગ્રેસ દ્વારા વાંધાજનક નામ કમી કરવાના ફોર્મ ભરાતા મામલતદારને આવેદનપત્ર અપાયુ

મતદાર યાદી સુધારણા-2026ની કામગીરીને લઈને પાટણમાં રાજકારણ ગરમાયું છે.પાટણ શહેર કોંગ્રેસે દ્વારા મામલતદારને આવેદન આપી કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. ​પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીમાંથી મોટાપાયે નામ કમી કરવાના ષડયંત્રનો આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા પાટણ શહેર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે 16 જાન્યુઆરીથી અચાનક હજારોની સંખ્યામાં નામ કમી કરવા માટેના ફોર્મ નં. 7 જમા થવા લાગ્યા છે.રજીસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ્સ 1960 મુજબ કોઈપણ નામ કમી કરતા પહેલા નોટિસ આપી સુનાવણી કરવી ફરજિયાત છે. છતાં પુરાવા વગર જથ્થાબંધ ફોર્મ સ્વીકારાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના લાલબાબ હુસેન કેસના ચુકાદાનો હવાલો આપીને કોંગ્રેસે આને લોકશાહીની હત્યા ગણાવી છે.તમામ વાંધા અરજીઓ સાર્વજનિક કરી દોષિતો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

નગરપાલિકા દ્વારા શહેરના 20 વિસ્તારોમાં નવા રોડ બનાવવાનું આયોજન‎:પાટણના સુભાષચોકથી જુનાગંજ સુધી 28.84 લાખના ખર્ચે ડામર રોડની કામગીરી શરૂ કરાઈ

પાટણ શહેરના વોર્ડ નંબર 7માં વિકાસની ગતિ તેજ બની છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25 ની ગ્રાન્ટ હેઠળ સુભાષચોક ગણપતિ મંદિરથી જુનાગંજ મમતા મોલ સુધી ડામર રોડનું કામ શરૂ કરાયું છે. અંદાજિત 28.84 લાખના ખર્ચે બની રહેલા આ માર્ગના કામનું કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા, રમેશભાઈ પટેલ અને પ્રવિણાબેન પ્રજાપતિએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.​બીજી તરફ મમતા મોલથી જ્વાળામુખીની પોળ થઈ બુકડી ચોક સુધીનો 11.53 લાખનો રોડ પૂર્ણ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. કોર્પોરેટરોએ સ્થળ પર રહી રહીશોની રજૂઆતો સાંભળી હતી અને કામની ગુણવત્તા તપાસી હતી.વર્ષો જૂની રોડની સમસ્યા હલ થતા રહીશોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.નગરપાલિકા દ્વારા શહેરના કુલ 20 વિસ્તારોમાં તબક્કાવાર નવા રોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

નિરક્ષરતા, સિંચાઈના અભાવ વચ્ચે બાળકોના ભવિષ્ય માટે લીધો નિર્ણય:રોજના 400 રૂપિયાની કમાણી કરતા ખેડૂતે શાળા માટે જમીન દાનમાં આપી

ઘણા ધનિકો પાસે કુબેરના ભંડાર હોવા છતાં જીવનભર વધુને વધુ ધન ભેગું કરવાનો મોહ છૂટતો જ નથી. ત્યારે અન્નદાતા એટલે દિવસ રાત કાળી મજૂરી કરી જગતને અન્ન પૂરું પાડતા ધરતીપુત્રએ પોતાની સામાન્ય આર્થિક સ્થિતિ વચ્ચે પોતાના કરતા બીજાના હિત માટે દિલેરી દર્શાવી છે. જેમાં મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિકાસની દ્રષ્ટિએ અતી પછાત ગણાતા માળીયા મિયાણા મી.ના ત્રણ ચાર કિમિ દૂર આવેલા ભોળી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ખેડૂત સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીએ તેમના જ વિસ્તારમાં પ્રાથમિક શાળા બનાવવા માટે ભૂમિદાન કર્યું છે. આ ખેડૂતે પ્રાથમિક શાળા બનાવવા માટે પોતાની માલિકીની એક વિઘા જમીન સરકારને દાનમાં આપતા તે બદલ પ્રજાસત્તાક પર્વ પર મામલતદારના હસ્તે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂત સુભાનભાઈ નિરક્ષર હોવાની સાથે બાપ દાદાના વખતથી આ વિસ્તારમાં આવેલી આઠ વિઘા જમીનમાં ખેતીકામ કરીને પરિવારનું જીવન નિર્વાહ કરે છે. તેમની કઠણાઈ એ છે કે, માળીયામાં કેનાલના પાણી પહોંચ્યા ન હોય સિંચાઈના અભાવે વરસાદ આધારિત ખેતી છે. તેમની જમીન ફળદ્રુપ અને વાવણીલાયક જ છે. પણ પાણી હોય તો વાવી શકે ને ! પોતાની ખેતી હોવા છતાં પાણી ન હોય પોતાના ઘરનું ગુજરાન ચલાવવા આજુબાજુના પાણીની સુવિધા ધરાવતા વાડી વિસ્તારોમાં ખેત મજૂરી કરવા જવું પડે છે અને આ આખો દિવસ ખેત મજૂરી કર્યા બાદ રોજની 300 કે 400 રૂપિયાની કમાણી થાય છે. આવી કાળી મજૂરી અને તેની સામે ઓછી આવક છતાં ખેડૂતે નિરક્ષર હોવા છતાં બીજા બાળકોનું ભલું કરવા શિક્ષણ માટે ભૂમિ દાન કરીને પોતાના દિલની મુઠી ઉંચેરી ઉદારતા દર્શાવી છે. નવી પેઢી શિક્ષણથી વંચિત‎ન રહે તે માટે ભૂમિદાન કર્યું‎સુભાનભાઈ સંધવાણી કહે છે કે, હું ભણી ન શક્યો એનો મને રંજ છે. કારણ કે, તેઓ ખેતીના 7/12 સહિતના દસ્તાવેજ માટે કચેરી જાય ત્યારે કઈ ખબર જ પડતી જ નથી. આ કાગળિયા કરવામાં એક કચેરીથી બીજી કચેરીએ એમ સતત ધક્કા થાય છે. તેથી અમારા વિસ્તારમાં રહેતા અન્ય મજૂરી કામ કરતા પરિવારના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સ્કૂલ બનાવવી જરૂરી હોય તેમજ હાલ જે જગ્યાએ સ્કૂલ હોય તે બાળકોના ઘરથી દૂર હોવાથી તેમની જમીન પર સ્કૂલ બને તો બાળકોને અવરજવરમાં સરળતા પડે તે માટે આ સ્કૂલના નિર્માણ માટે તેઓએ જમીન આપી છે. જો કે મારા સાત સંતાનોમાં છ દીકરા અને એક દીકરી હોય આ તમામને મેં મારી આર્થિક ક્ષમતા અનુસાર ભણાવ્યા છે. જેમાં આ સંતાનોમાં બે 12 સુધી તો એક કોલેજ સુધી એમ શિક્ષણ લીધું હોય હવે 4 દીકરાના લગ્ન કરી નાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

માનવીય સંવેદના:કાતિલ ઠંડીમાં ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોને આશ્રયગૃહમાં ખસેડવામાં આવ્યા

હાલ એટલો બધો શીતપર્કોપ છે કે લોકો આખા શરીર ઢંકાય એ રીતે ગરમ વસ્ત્રો પહેરીને ચાર દિવારીમાં કેદ હોવા છતાં કાંતિલ ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. ત્યારે મોરબી શહેરમાં ઘણા માર્ગો અને ફૂટપાથ પર રખડતું ભટકતું જીવન ગુજારતા નિરાધારોને ઠંડી બચવા માટે ગરમ વસ્ત્રો પણ હોતા નથી. તેથી કાંતિલ ઠંડીમાં આ ફૂટપાથ પરના લોકોની કેવી દર્દનાક હાલત થતી હશે ? એ વિચારીને પણ ધ્રુજી ઉઠાય છે. આથી મોરબી શહેરના ફૂટપાથ પર વસવાટ કરતા ઘરવિહોણા નિરાધાર લોકોને ઠંડીથી રક્ષણ આપવા મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખાએ સલામત રીતે તમામ રહેવા જમવાની સુવિધા સાથે આશ્રયગૃહમાં ખસેડયા હતા. મોરબી મનપાની યુ.સી.ડી. શાખા અને સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થાના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા લોકોની મુલાકાત લેવામાં આવી હતી. યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા તેમને આશ્રયગૃહના લાભો વિશે સમજ આપી, કુલ 16 જેટલા ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે આશ્રયગૃહ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોરબી ખાતે કાર્યરત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં નિરાધાર લોકો માટે રહેવા, જમવા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ આશ્રયગૃહનું સંચાલન મનપા દ્વારા નિયુક્ત સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. મનપા કમિશનર દ્વારા શહેરના તમામ જરૂરિયાતમંદ અને ઘરવિહોણા લોકોને આ આશ્રયગૃહનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ઝારખંડના શ્રમિક દંપતીની પુત્રીને 5 કલાકની જહેમત બાદ સોંપાઇ‎:મોરબીના રંગપરમાં રસ્તો ભૂલેલી બાળકી 181 અભયમની મદદથી પરિવાર સુધી પહોંચી

મોરબીના રંગપર ગામના ક્રિકેટ મેદાન નજીક ઝારખંડની વતની એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસૂમ પુત્રી ભૂલી પડી જતા ગભરાયેલી હાલતમાં હોવાની કોઈ સજ્જન વ્યક્તિએ 181 અભયમને જાણ કરી હતી. આથી અભયમ ટીમે આ બનાવની ગહનતાપૂર્વક તપાસ કરતા ઝારખંડથી હમણાં જ મોરબીની એક કંપનીમાં મજૂરી કામે આવેલા દંપતિ એ કંપનીમાં નાઈટ ડ્યુટી પુરી કરીને સુતા હોય ત્યારે તેમની ત્રણ વર્ષની માસૂમ પુત્રી અન્ય બાળકો સાથે ભાગ એટલે નાસ્તો લેવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગઈ હતી. આ બાબતની સંપૂર્ણપણે ખરાઈ કરીને એ બળકીને તેના માતાપિતાને સોંપી દીધી હતી. મોરબીના રંગપર ગામે ક્રિકેટ મેદાન પાસે ત્રણેક વર્ષની બાળકી એકલી બેઠી હોવાની કોઈ સજ્જન વ્યક્તિએ મોરબી 181 અભયમ ટીમને જાણ કરી હતી. આથી અભયમ ટીમના જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ અનિલભાઈ ઘટના સ્થળે પહોંચી બાળકીને સાંત્વના આપી તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતા. જો કે, બાળકી કઈ બોલતી ન હોવાથી તેણીને આજુબાજુ કારખાનામાં લઈ જઈ બાળકીના માતાપિતાની શોધખોળ શરૂ કરવાની સાથે સિરામિક એસોસિએશનના ગ્રુપમાં મેસેજ નાખી કારખાનેદારોને પણ જાણ કરી હતી. આ રીતે સતત પાંચ કલાક સુધીની જહેમતને અંતે આ બાળકીના માતાપિતાની જાણકારી મળતા તેમને શોધી કાઢી બાળકીને માતાપિતા સુધી પહોંચાડી હતી. ત્યારે બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ ઝારખંડના હોય પણ છેલ્લા છ મહિનાથી મોરબી મજૂરી કામે આવ્યા છે અને ગઈકાલે નાઈટ ડ્યુટી કરી હોય પતિ પત્ની સુતા હતા ત્યારે તેમની આ પુત્રી અન્ય બાળકો સાથે ભાગ લેવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગઈ હતી.પણ સદનસીબે કોઈ સજ્જન વ્યક્તિની સજ્જનતાથી 181 અભયમ સાથે ભેટો થતા એ બાળકીની જિંદગી રોળાતા બચી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

પ્રાકૃતિક ખેતી:ખેડબ્રહ્માના ખેડૂતે 20 વર્ષની રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી, વાર્ષિક નફો ₹રૂ.3.50 લાખથી વધીને ₹11.50 લાખ થયો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા કંપા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આધુનિક ખેતીમાં નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે. છેલ્લા 27 વર્ષથી ખેતી સાથે જોડાયેલા પટેલ વિનોદભાઈ રવજીભાઈએ બે દાયકા સુધી રાસાયણિક ખેતી કર્યા બાદ જમીનની ઘટતી ફળદ્રુપતા અને વધતા ખર્ચથી પરેશાન થઈ પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવ્યો છે, જે આજે તેમના માટે લાખોની કમાણીનું સાધન બન્યું છે. વિનોદભાઈ વર્ષ 1995થી 2015 સુધી રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ ઉત્પાદનમાં સતત ઘટાડો થતા તેઓ ચિંતિત હતા. આ દરમિયાન વર્ષ 2003-04માં તેમણે ઇઝરાયેલનો પ્રવાસ કરી પાણી બચાવવાની ટેકનિક શીખી હતી. ત્યારબાદ અમદાવાદમાં પદ્મશ્રી સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં ભાગ લીધા બાદ તેમણે સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત ખેતી કરવાનો નિર્ણય લીધો. છેલ્લા 7 વર્ષથી તેઓ 'કશ્યપ પ્રાકૃતિક ફાર્મ' દ્વારા ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે. વિનોદભાઈ પાસે રહેલી 2 દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ જાતે જ જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરે છે. વિનોદભાઈ જણાવે છે કે, રાસાયણિક ખાતરોને લીધે જમીન કઠણ અને ક્ષારવાળી થઈ ગઈ હતી, પરંતુ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવ્યા બાદ જમીન ફરી પોચી અને ફળદ્રુપ બની છે. ઓર્ગેનિક કાર્બન વધવાથી પાકની ગુણવત્તા અને સ્વાદમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. વિનોદભાઈ પોતાની 5 એકર જમીનમાં ફળો (આંબા, જામફળ, સફરજન), શાકભાજી અને અનાજનું મિશ્ર વાવેતર કરે છે. તેમના કહેવા પ્રમાણે રાસાયણિક ખેતીમાં આવક ₹7,00,000 સામે નફો માત્ર ₹3,50,000 હતો. જ્યારે પ્રાકૃતિક ખેતી કરતાં અત્યારે વાર્ષિક આવક ₹17,00,000 છે અને તમામ ખર્ચ બાદ કરતા ₹11,50,000નો ચોખ્ખો નફો મળે છે. માત્ર નફો જ નહીં, પણ લોકો સુધી શુદ્ધ અને પૌષ્ટિક આહાર પહોંચાડવોએ વિનોદભાઈનું મુખ્ય લક્ષ્ય છે. તેમની સફળતા જોઈને આસપાસના અન્ય ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. વિનોદભાઈનું માનવું છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પણ પ્રકૃતિ તરફ પાછા વળવાનું એક પવિત્ર અભિયાન છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

મુલાકાત:CM આજે દ્વારકાના આંગણે ધર્મોત્સવના સાક્ષી બનશે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનુ ગુરૂવારે તીર્થભૂમિ દ્વારકા ખાતે આગમન થશે.દ્વારકા નજીક આવેલ નંદી ગૌશાળા ખાતે ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વિશ્વ કલ્યાણાર્થે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. આ ધાર્મિક ઉત્સવ અંતર્ગત શ્રીમદ દેવી ભાગવત કથા, 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞ તેમજ 108 શિવલિંગનું મહા રૂદ્રાભિષેક જેવા વૈદિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ભવ્ય ધર્મોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમોના સાક્ષી બનશે તેમજ ધર્મલાભ પ્રાપ્ત કરશે. આ સાથે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી દ્વારકાધીશ જગતમંદિરમાં રાજાધિરાજ શ્રી દ્વારકાધીશને શિશ ઝુકાવી દર્શન-પૂજન પણ કરશે. મુખ્યમંત્રીના આ પ્રવાસને પગલે દ્વારકા નગર તથા આસપાસના વિસ્તારોમાં વહીવટી તૈયારીઓ તેજ બની ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તજનો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

આકર્ષણનું કેન્દ્ર:શિયાળો જામતા દ્વારકાના ગોમતી નદી પર છવાયું સીગલ બર્ડનું સામ્રાજ્ય...

યાત્રાધામ દ્વારકામાં શિયાળાની ઠંડીની જમાવટ સાથે જ કુદરતી સૌંદર્યમાં અનોખો નિખાર જોવા મળી રહયો છે. ગોમતી નદી તથા દરિયાકાંઠા વિસ્તાર હાલમાં વિદેશી સીગલ બર્ડના મોટા ઝૂંડથી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા લગભગ બે માસથી ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, નવા ગોમતી ઘાટ તેમજ સમગ્ર દરિયાઈ પટ્ટામાં સેંકડો નહીં પરંતુ હજારોની સંખ્યામાં સીગલ બર્ડ નજરે પડી રહ્યા છે. આ સીગલ બર્ડ મુખ્યત્વે યુરોપ, સાઈબેરીયા, કઝાકિસ્તાન અને ચીન જેવા અતિશીત પ્રદેશોમાં વસવાટ કરતા પક્ષીઓ છે. શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ આ પક્ષીઓ ગરમ હવામાનની શોધમાં હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતના દરિયા કાંઠે આવે છે. દ્વારકા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં દર વર્ષે શિયાળામાં આ વિદેશી પક્ષીઓની હાજરી નોંધપાત્ર રીતે વધતી જાય છે.હાલ શિયાળાની જોરદાર જમાવટ વચ્ચે સીગલ બર્ડની સંખ્યામાં વિશેષ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરી સંગમ નારાયણ મંદિરથી નવા ગોમતી ઘાટ સુધીના વિસ્તારમાં આ પક્ષીઓ આકાશમાં ઝૂંડે ઝૂંડ ઉડતાં જોવા મળે છે. સફેદ અને રાખોડી રંગના પંખો ફેલાવી આ પક્ષીઓ ગોમતી નદી પર ફરતા હોય તેવું દૃશ્ય યાત્રિકો અને પ્રવાસીઓમાં વિશેષ આનંદ જગાવે છે. યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આવતા યાત્રિકો માટે આ દૃશ્ય એક અનોખો અનુભવ બની રહ્યો છે. દરિયાકાંઠે ફરતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ સીગલ બર્ડ સાથે તસવીરો ખેંચી, સેલ્ફી લેતા સ્થાનિક લોકોનું માનવું છે કે શિયાળાની ઋતુમાં દરિયાકાંઠે માછલીઓની ઉપલબ્ધિ વધતી હોવાથી સીગલ બર્ડ અહીં લાંબા સમય સુધી રોકાય છે. ગોમતી નદીનો સંગમ વિસ્તાર, ખુલ્લો દરિયાકાંઠો અને શાંત વાતાવરણ આ પક્ષીઓ માટે અનુકૂળ હોવાથી તેઓ અહીં નિર્ભયતાપૂર્વક વસવાટ કરે છે. કુદરતી પર્યાવરણના દ્રષ્ટિકોણે પણ આ ઘટના મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિદેશી પક્ષીઓનું આગમન એ પર્યાવરણ સ્વચ્છ અને અનુકૂળ હોવાનો સંકેત માનવામાં આવે છે. નજરે પડે છે. ઘણા યાત્રિકો પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવતા કાજુ, બિસ્કિટ, ગાંઠીયા સહિતના ખાદ્ય પદાર્થો તેમને ખવડાવી આનંદ માણી રહ્યા છે. બાળકો માટે તો આ પક્ષીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

આવેદનપત્ર:શહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું

શહેરામાં ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી મુસ્લિમ સમાજના કેટલાક મતદારોને મૃત અથવા કાયમી સ્થળાંતર બતાવી મતદારોની જાણ બહાર નામો કમી કરવાના આક્ષેપ સાથે શહેરા મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં ફોર્મ 7 બાબતે ચૂંટણી પંચની વેબ સાઇટ પર તપાસ કરતા અમારા નામો પણ ફોર્મ 7 અંતર્ગત કમી થયેલા જણાય છે. વાંધો રજુ કરનાર વ્યક્તિઓનો અમોએ સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ દ્વારા કોઈપણ પ્રકારના વાંધા ઓનલાઇન કે ઓફલાઈન રજૂ કરેલ નથી. જેથી કોના દ્વારા આ ફોર્મ નંબરનો દુરુપયોગ કરી જીવિત અને મૂળ રહેઠાણ પર રહેતા મતદાતાઓના નામ કમી કરવાનો ગંભીર ગુનો આચરેલ છે. તથા જે નામો કમી કરવા ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને અમારા નામો આખરી મતદાર યાદીમાં પ્રસિદ્ધ થાય તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરેની માંગ કરી હતી. પ્રાંત અધિકારીએ પણ મુસ્લિમ સમાજના લોકોને નિશ્ચિત રહેવા જણાવ્યું હતું. ફોર્મ નં.7 બાબતે મરણનો દાખલો આપે અને પોતે રૂબરૂ આવી તો જ નામ નમી થઈ શકે પરંતુ જો કોઈ વ્યક્તિ એવા સ્પષ્ટ રીતે પુરાવા રજૂ ન કરે તો માત્ર ફોર્મના આધારે નામ કમી થઇ શકે નહીં તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

અકસ્માત કરતી સફેદ LED લાઇટો સામે કાર્યવાહી, રૂા.1.20 લાખ વસૂલ્યા‎:વાહનો પરની અનધિકૃત લાઇટો સામે RTOની તવાઇ: 35 વાહનો દંડાયા

ગોધરા શહેર તેમજ પંચમહાલ જિલ્લામાં વાહનો પર અનઅધિકૃત રીતે લગાવાતી સફેદ LED લાઇટ અને વધુ તીવ્રતા ધરાવતી હેડલાઇટના કારણે અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જતી હોવાની વ્યાપક ફરિયાદોના આધારે આજે ગોધરા RTO દ્વારા કડક ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 વાહનો સામે દંડનીય પગલાં ભરી ₹1.20 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગોધરા અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પ્રજા દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.આ ગંભીર મુદ્દે RTOની વડા કચેરી દ્વારા પણ તીવ્રતાવાળી LED લાઇટ સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા. જેના અનુસંધાને આજે ગોધરા RTO દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પરવડી ચોકડી સહિત જિલ્લાના મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. વાહનમાં કંપની દ્વારા ફિટ કરવામાં આવેલી લાઇટ સિવાયની અન્ય કોઈ પણ બહારની LED કે એસેસરીઝ લગાવવી કાયદા વિરુદ્ધ છે. આવા કિસ્સામાં વાહનચાલકો પાસેથી રૂા.5,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ગોધરા RTO અધિકારી કે.કે. પંચાલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું .RTO તંત્રએ માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ આવી અનઅધિકૃત LED લાઇટ અને એસેસરીઝનું વેચાણ કરનારા દુકાનદારોને પણ કડક ચેતવણી આપી છે. જો દુકાનદારો આવી ગેરકાયદે એસેસરીઝનું વેચાણ કરતા પકડાશે, તો તેમની સામે પણ કાયદા મુજબ કડક કાર્યવાહી કરાશે. માર્ગ સલામતી જળવાઈ રહે તે માટે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા RTO દ્વારા અપીલ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આરસીસી રોડના કામમાં ડાયવર્ઝન ન અપાતા વન‎વે રોડ ઉપર વાહનો સામ-સામે આવતા ટ્રાફિક જામ‎

પાટણ-હારિજ હાઈવે પર સુદામા ચોકડી પાસે ડાયવર્ઝન કે ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રણ વગર ચાલતાં RCC રોડની ધીમી કામગીરીને લઈ વાહનચાલકો માટે ટ્રાફિકની આફત સર્જાઈ છે. જેમાં ડાયવર્ઝનના અભાવે દિવસ-રાત લાગતી વાહનોની લાંબી કતારો હવે મેડિકલ ઈમરજન્સી માટે પણ જોખમી બની રહી છે.સાથે 10 મીટર નો રોડ ભારે વાહનો વચ્ચેથી પસાર કરવો ડ્રાઇવરો માટે પરીક્ષા સમાન બન્યો હોય અકસ્માતનું જોખમ ઊભું થયું છે. શહેરની સુદામા ચોકડી પર હાલમાં રોજિંદા ટ્રાફિક કકળાટના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલના અભાવે વારંવાર તૂટતા ડામર રોડના કાયમી ઉકેલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 1 જાન્યુઆરીથી RCC રોડનું કામ શરૂ કરાયું છે. જોકે, આ વિકાસની કામગીરી હવે વિમાસણનું કારણ બની છે. અહીં ચોકડી પાસે 100 મીટર અને હારીજ લિંક રોડ તરફ 500 મીટર લાંબો રોડ બની રહ્યો છે, પરંતુ આયોજનના અભાવે ટ્રાફિક વ્યવસ્થા સાવ વેરવિખેર થઈ ગઈ છે. લિંક રોડ પર એક તરફ કામ ચાલતું હોવાથી માત્ર પાંચ મીટરના સાંકડા પટ્ટા પરથી સામસામે ટ્રક અને ટર્બા જેવા ભારે વાહનો પસાર થાય ત્યારે કલાકો સુધી પૈડાં થંભી જાય છે.સ્થિતિ એટલી ગંભીર છે કે વાહનચાલકો જીવના જોખમે કોમ્પ્લેક્સના ઢાળ પરથી વાહનો હંકારી રહ્યા છે. સ્થાનિકોની સૌથી મોટી ચિંતા એમ્બ્યુલન્સને લઈને છે; જો કોઈ ગંભીર દર્દી ટ્રાફિકમાં ફસાય તો જીવનું જોખમ ઊભું થઈ શકે છે. બીજી તરફ, સતત ટ્રાફિકના દબાણને કારણે રોડ બનાવવાની કામગીરીની ગતિ પણ મંદ પડી છે. તંત્ર દ્વારા જો તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવે અને ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે તો ચાલકોને ‘ચક્કાજામ’માંથી મુક્તિ મળી શકે તેમ છે. હજુ 15 ફેબ્રુઆરી સુધી કામગીરી ચાલુ રહેશે‎કોન્ટ્રાક્ટ કંપનીના સાઈડ ઇન્ચાર્જ એન્જિનિયર મુકેશ શર્માએ જણાવ્યું હતું કે આરસીસી રોડની કામગીરી 30 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાની હતી, પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે કામ સમયસર પૂર્ણ થઈ શક્યું નથી. હવે આ કામગીરી 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પાટણ–ચાણસ્મા હાઈવે પરનું કામ પૂર્ણ થતાં રસ્તો શરૂ કરી દેવાયો છે, જ્યારે પાટણ–હારીજ લિંક રોડ પર એક સાઈડ પર હજુ કામ ચાલી રહ્યું છે. સર્કિટ હાઉસ પાસેથી વાહન ચાલકો હારીજ લિંક રોડ પર જઈ શકે છે‎પાટણ શહેર તરફથી આવતાં વાહનચાલકો સર્કિટ હાઉસ પાસેથી જય અંબે સોસાયટી થઈ પાટણ–હારીજ લિંક રોડ પર જઈ શકે છે. તેમજ હારીજ તરફથી આવતાં વાહનચાલકો પણ આ માર્ગથી પાટણ–ચાણસ્મા હાઈવે પર પહોંચી શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

રજૂઆત:વેરામાં ચડેલી વ્યાજની રકમ માફી યોજના જાહેર કરો

પોરબંદર વિસ્તારના રહેણાંક તેમજ વ્યવસાયિક મિલ્કતોના વેરાઓની કરોડો રૂપિયાની રકમ બાકી છે. આ હાઉસ ટેક્સ વેરાઓની રકમ પર અગાઉના બાકી લેણા પર 18 ટકા જેવી વ્યાજની રકમ લગાડવામાં આવી હોય, જેના કારણે આ રકમ ભરપાઈ કરવામાં શહેરીજનો ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહયા છે. તા. 31મી માર્ચ 2026 સુધીમાં જે લોકો બાકી રહેતી વેરાની રકમ ભરપાઈ કરી આપે તો તેઓને વેરાની રકમ પર ચડત વ્યાજ 100 ટકા માફ કરી આપવા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પૂર્વ કાઉન્સિલર ફારુકભાઇ સૂર્યાએ કમિશનરને રજૂઆત કરી છે.વધુમાં જણાવ્યું છે કે, આમ કરવાથી મનપાને પણ તા.31મી માર્ચ પહેલા ચડત વેરાની કરોડોની રકમ વસુલ કરવામાં આસાની થશે. પ્રજા હીતમાં અને મનપાના હીતમાં આ નિર્ણય લઈ વ્યાજ માફી ની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી છે. વળી, જે લોકો નિયમિત વેરા ભરપાઈ કરે છે તેઓને નવેમ્બર સુધીમાં વેરાની રકમ ભરપાઈ કરે તો જ 10 ટકા રીબેટનો લાભ મળે છે. ચાલુ વર્ષે વેરામાં વધારો થતા અને ત્યારબાદ ઘટાડાની પ્રક્રિયા થતા તે દરમ્યાન નિયમિત વેરા ભરપાઈ કરતા લોકો પણ સમય મર્યાદામાં વેરા ભરપાઈ કરી શક્યા નથી, જેથી આવા નિયમિત વેરા ભરપાઈ કરતા લોકોને માર્ચ 2026 સુધીમાં વેરો ભરે તો 10 ટકા રીબેટનો લાભ મળે તેવી જાહેરાત કરવા પણ રજૂઆત કરી છે. નિયમિત વેરા ભરપાઈ કરતા લોકો આ વર્ષે વેરાના વધારા પછી થયેલી અસમસંજતા ના કારણે 10 ટકા રીબેટ થી વંચીત રહયા હોય તેવા લોકોને પણ કાયમી નિયમિત વેરા ભરી આપવાની ધગસ જળવાઈ રહે જેથી લોકહિતમાં યોગ્ય નિર્ણય લઈ વહેલી તકે આ બાબતે યોગ્ય નિર્ણય કરી જાહેરાત કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. જૂનાગઢ મનપા દ્વારા વ્યાજ માફીની યોજના જાહેર થઈ હતી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં આવી વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી હતી જે ધ્યાને લઈ પોરબંદરમાં પણ આવી યોજના જાહેર કરવામાં આવે તેવો પ્રજાહિતમાં નિર્ણય લેવા ખાસ રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ખાસ:પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે છેલ્લા 3 માસમાં 10.42 લાખ કિલો મગફળીની આવક વધુ નોંધાઇ

પોરબંદરના માર્કેટયાર્ડ વિવિધ વિભાગોમાં જણસીની આવક થતી હોય છે ત્યારે યાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફળીની છેલ્લા ત્રણ માસમાં 10.42 લાખ કિલો આવક વધી છે.પોરબંદરના યાર્ડમાં ગત વર્ષે 14.16 લાખ કિલો અને આ વર્ષે 24.58 લાખ કિલો મગફળીની આવક નોંધાઈ છે.જોકે આવક વધી છે તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને મગફળીના ભાવ પણ વધુ મળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે અંદાજે 80 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું ત્યારે આ વર્ષે મગફળીના પાકનું ઉત્પાદન પણ વધુ જોવા મળી રહ્યું છે જોકે દિવાળી સમયે મગફળીના તૈયાર પાક પર કમોસમી વરસાદ પડતાં મગફળીની ગુણવત્તા બગડી હતી તેમજ ખેડૂતોને મગફળીના પાકને પણ નુકશાન થયું હતું તેમછતાં પણ આ વર્ષે યાર્ડમાં મગફળીની આવક વધુ જોવા મળી રહી છે. પોરબંદરના યાર્ડમાં ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના ત્રણ માસમાં ચાલુ વર્ષે કુલ 24,583 ક્વિન્ટલ એટલે કે 24,58,300 કિલો મગફળીની આવક નોંધાઈ હતી તો ગત વર્ષેના ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના ત્રણ માસમાં 14,163 ક્વિન્ટલ એટલે કે 14,16,300 કિલો મગફળીની આવક થઈ હતી. પોરબંદરના યાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 10,42,000 કિલો મગફળીની વધુ આવક નોંધાઈ હતી. ખેડૂતોને સારા ભાવ મળ્યા ગત વર્ષે મગફળીના પ્રતિમણે રૂ.900 થી 1200 ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા ત્યારે આ વર્ષે યાર્ડમાં ખેડૂતોને પ્રતિમણે રૂ.960 થી 1340 ભાવ ખેડૂતોને મળ્યા હતા.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને પ્રતિમણે રૂ.100 રૂપિયા ભાવ વધારો મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

સિટી એન્કર:ઈસ્કોન સર્કલ પાસેથી મ્યુનિ. લારી ઉઠાવી ગઈ, NIR દંપતીએ ફેરિયાને ડ્રાઈવિંગ શીખવાડી રોજગારી માટે નવી રિક્ષા ભેટમાં આપી

ઈસ્કોન સર્કલ પાસે ફળ-જ્યૂસની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિજયભાઈની લારી મ્યુનિ. ઉઠાવી ગઈ હતી. આ સમયે ત્યાં જયૂસ પી રહેલા એનઆરઆઈ દંપતીએ તેને આશ્વાસન આપી બીજા દિવસે નવી લારી અપાવી હતી. વિસનગર તાલુકાના પાલડી હસનપુર ગામનો વતની વિજય, પત્ની અને બે નાનાં બાળકો સાથે રામદેવનગરમાં રહે છે. ગત વર્ષે મ્યુનિ.એસ્ટેટ વિભાગની ટીમ રોડ પરથી દબાણ હટાવ્યા ત્યારે વિજયની લારી પણ જપ્ત કરી લીધી હતી. એ સમયે લંડનમાં સ્થાયી થયેલા એનઆરઆઈ શૈલેષ રાજા પોતાની પત્ની નીતાબેન સાથે એ જ લારી પર જ્યૂસ પી રહ્યા હતા. આ દૃશ્ય જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. શૈલેષભાઈએ વિજયના ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું હતું કે, ‘હિંમત રાખ, નવી લારી હું લાવી આપીશ.’ બીજા દિવસે રામદેવનગરના છાપરામાં રહેતા વિજયના ઘરે જઈ લારી આપી તેમણે પોતાનું વચન પાળ્યું પરંતુ વાત અહીં અટકી નહીં. પરિવારનું ગુજરાન પૂરું થતી નથી એ જાણીને શૈલેષભાઈએ ફરી લંડનથી આવીને પેસેન્જર રિક્ષા લઈ આપવાની ખાતરી આપી હતી. શૈલેષભાઈએ તેમના અંગત મિત્ર લોકગાયક વિક્રમ લાબડિયાને વિજયભાઈને મદદરૂપ થવાની વાત કરી હતી. વિક્રમ લાબડિયાએ વિજયભાઈની આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવીને લંડનમાં શૈલેષભાઈને વાકેફ કરીને તેને ખરેખર મદદ કરવી જોઈએ તેવો સૂર વ્યકત કર્યો અને વિજયભાઈને ડ્રાઈવિંગ શીખવાડી લાઈસન્સ કઢાવી આપવા સુધીની મદદ કરી હતી. શૈલેષભાઈ પત્ની નીતાબેન સાથે ફરી વતનમાં આવ્યા અને વિજયભાઈને નવી પેસેન્જર રિક્ષા અપાવી હતી. રિક્ષા મળતાં વિજય અને તેની પત્નીની આંખોમાં આનંદના આંસુ અટકી ન શક્યા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

દર્દીઓને હાલાકી:સોલા સિવિલમાં સગાંએ જ સ્ટ્રેચર પકડવું પડે છે, ચાદર પણ બદલે છે

સોલા સિવિલમાં મંગળવારે એક ગંભીર બીમારી સાથે આવેલા દર્દીએ દાખલ થવા ચોથા માળે તથા ત્યાર બાદ પેટમાંથી પાણી કઢાવવા માટે જાતે જવું પડ્યું. રાજકુમાર ઠાકર નામના દર્દીએ આક્ષેપ કર્યો હતો કે, એડમિશન પ્રોસેસ બાદ કોઈ વોર્ડબોય ન મળતાં તેમના સગાંએ તેમને સ્ટ્રેચર પર બેસાડી જાતે જવું પડ્યું. તેઓ જ્યારે વોર્ડમાં ગયા તો સ્ટાફ નર્સે તેમને ચાદર બદલવા કહ્યું અને દવા, ઇન્જેક્શનની સામગ્રી પકડવા માટે પણ સગાંને ઊભાં રાખ્યાં. જ્યારે તેમને પેટમાંથી પાણી કઢાવવા માટે જવું હતું તો પણ કોઈ આવ્યું નહિ. અંતે સગાં જ તેમને સ્ટ્રેચર પર લઈ ગયાં. સ્ટાફની ગેરવર્તણૂક અને સુવિધાના અભાવથી ત્રસ્ત થઈને દર્દી રાજકુમાર ઠાકરે અંતે સારવાર અધૂરી મૂકીને હોસ્પિટલમાંથી રવાનગી લીધી હતી. જતી વખતે તેમણે રોષે ભરાઈને કહ્યું કે, ‘હવે મને જે કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સોલા સિવિલની રહેશે.’ હોસ્પિટલનાં ઇન્ચાર્જ નર્સના જણાવ્યા મુજબ, 30 દર્દીએ એક વોર્ડ બોય હોય છે. ઇમરજન્સીમાં 6નો સ્ટાફ, દરેક વોર્ડમાં 1 વોર્ડ બોય: RMOઆરએમઓ ડો. દેવાંગ શાહે કહ્યું કે, ઇમરજન્સીમાં 6 લોકોનો સ્ટાફ છે, જે દર્દીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે અને દરેક વોર્ડમાં એક વોર્ડ બોય હોય છે. જે દર્દીને જરૂર પડે ત્યરે મદદ કરે છે .

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

કાર્યવાહી:વ્હેલ માછલીની ઉલ્ટી કેસ, વિસાવદરના શખ્સની અટક

રૂપિયા 1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ના કેસમાં વન વિભાગે વિસાવદરના શખ્સની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. ગઈ તા. 24 જાન્યુઆરીના રોજ એસઓજીએ વિજાપુરના પાટિયા પાસેથી પાલીતાણાના બહારપરા 72 વર્ષીય પંકજ નાથાલાલ કુબાવતને રૂપિયા 1,02,50,000ની કિંમતની 1.025 કિલોગ્રામ વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે પકડી લઇ કુલ 1,02,60,000નો મુદામાલ કબજે કર્યો હતો. વ્હેલ માછલીની ઉલટી વેચવા માટે ગ્રાહકની શોધમાં જૂનાગઢ આવેલા શખ્સનો દક્ષિણ ડુંગર રેંજના આરએફઓ એ. એ. ભાલીયાએ આરોપીને કોર્ટમાં કરી મંગળવાર સુધી 2 દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ કરતા વૃધ્ધને તળાજાનો શખ્સ વ્હેલ માછલીની ઉલટી સાથે લાવ્યો હોવાનું અને ઇસમ વિસાવદર ખાતે પણ લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જેના શખ્સને સાથે રાખી મંગળવારે વિસાવદરના કિરીટ નારણભાઈ સોલંકીની અટક કરી હતી અને વૃદ્ધના રિમાન્ડ પુરા થતા તેને જેલમાં મોકલી આપ્યો હતો. જ્યારે બુધવારે કિરીટ સોલંકીને કોર્ટમાં રજૂ કરતા તેને પણ અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. કેસમાં તળાજા તથા જૂનાગઢનો શખ્સ ફરાર હોય બંનેને ઝડપી લેવા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

મહાશિવરાત્રીના મેળા પૂર્વે વહીવટી તંત્ર એક્શન મોડમાં:સુદર્શન તળાવ પાસે દબાણ હટાવતા અડધી ગાડી ભરાય તેટલા તિક્ષ્ણ હથિયારો મળ્યા

જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળા પૂર્વે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. લાંબા સમયથી ભવનાથના સુદર્શન તળાવ પાસે શિવ ગિરિ ગુરુ જયદેવ ગિરી દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ એસ.ડી.એમ. અને પોલીસ કાફલાની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું છે. આ જગ્યા પર છેલ્લા ઘણા સમયથી કબજો જમાવી રાખવામાં આવ્યો હતો, જેના કારણે મેળાની વ્યવસ્થા અને સ્થાનિક અવરજવરમાં અડચણ ઊભી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. મહાશિવરાત્રીનો મેળો લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ મેળામાં આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર અને એસ.ડી.એમ.ના માર્ગદર્શન હેઠળ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. તંત્ર દ્વારા જ્યારે સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી આશરે 60 જેટલા હથિયારો મળી આવ્યા છે. આ જથ્થામાં તલવાર, ભાલા, ધારિયા, છરા અને કોષ જેવા જોખમી શસ્ત્રોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે અને આ હથિયારો રાખવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહીથી અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જપ્ત કરાયેલા હથિયારો અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે 60 જેટલા હથિયારો જપ્ત કરીને 135 હેઠળ ગુનો નોંધ્યો આ તમામ કામગીરી જ્યારે થઈ રહી હતી ત્યારે 60 જેટલા તિક્ષણ હથિયારો મળી આવ્યા હતા. આ બાબતની જાણ વહીવટ તંત્રએ પોલીસને કરતા ભવનાથ પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જગ્યાને કોર્ડન કરીને હથિયારનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારબાદ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું કે ઘણા બધા પ્રવાસીઓ જે અહીં ફરવા આવતા હતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

વાડીએ ચાલતી ક્લબ પર રેઇડ:જુગાર રમતા 10 પરપ્રાંતીય શ્રમિકો પકડાયા

સાંકરોળાના શખ્સે તેની વાડીમાં શરૂ કરેલી કલબ પર પોલીસે રેઇડ પાડી જુગાર રમતાં 10 પરપ્રાંતીયોને ઝડપી લઇ રોકડ સહિત રૂપિયા 2.35 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ઘસારણ તાલુકાના સાંકરોળાના રાજેશ સોમલાભાઈ કહોર નામના શખ્સે ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા બુધવારની વહેલી સવારે ભેસાણના પીએ આરપી વણઝારાની ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહીમાં વાડી માલિક રાજેશ સોમલાભાઈ હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેનો ભાગીયો વાડીમાં જ રહેતો મૂળ મધ્યપ્રદેશનો માસ્તર ઉર્ફ સુનીલ નરપતભાઈ બારેલા, બામણગઢની સીમમાં વિમલભાઈની વાડીએ રહેતો મધ્યપ્રદેશનો વીરસિંગ હજીભાઈ જમરે, ચારણ સમઢીયાળાની સીમમા અંકુર છગન વાઘાણીની વાડીનો મજુર એમપીનો અહરસિંગ હુગલીયાભાઈ ઠાકોર, મોટા દેવળીયાની સીમમાં ચંદુ પિરામજી કાનાણીની વાડીએ રહેતો મધ્યપ્રદેશના ઇકરામ ભંગી ભાઈ સેંગર, ચુડા ગામની સીમમાં પીન્ટુ વઘાસીયાની વાડીએ રહેતો એમપીનો અનીલ ખૂમસિંગ બારેલા, વડીયા ની સીમમાં ગોપાલ રવજી સોજીત્રાની વાડીનો મજુર એમપીનો કુમાર બોંગાભાઈ મેહતા, ફુલજર ગામની સીમમાં ઘનશ્યામ લુણાગરીયાની વાડીએ રહેતો એમપીનો નકોટીયા સુતારીયાભાઈ બુંદોયા, કુંવરગઢ ગામમાં નદી કાંઠે રહેતો એમપી નો ગુડો ગોખરીયા ડાવર, સાંકરોળાની સીમમાં રાજેશ સોમલાભાઈ આકરોડાની વાડીનો મજુર મધ્યપ્રદેશનો અનારસિંગ ભૂરલાભાઈ સોલંકી, ચારણીયા ગામની સીમમાં વિઠ્ઠલ ગાંડુભાઈ સોજીત્રાની વાડીએ રહેતો મૂળ મધ્ય પ્રદેશનો પ્રકાશ સાંઈસિંગ જમરે સહિત 10 શખ્સને રૂપિયા 35,160ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. ખેલીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 5 બાઈક સહિત કુલ રૂપિયા 2,35,160નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

અમૃત ભારત ટ્રેનની ટ્રાયલ:ઓછા ટિકિટ દરે વંદે ભારત જેવો અનુભવ, અમદાવાદ-વારાણસી વચ્ચે દોડી શકે, 1 હજાર કિમીએ રૂ.500 ભાડું

સામાન્ય નાગરિકો પણ વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં સસ્તી મુસાફરી કરી શકે તે માટે ભારતીય રેલવેએ અમૃત ભારત ટ્રેનો શરૂ કરી છે ત્યારે પશ્ચિમ રેલવેના સૌથી વ્યસ્ત અમદાવાદ-મુંબઈ રૂટ પર 130 કિમીની ઝડપે નવી ‘અમૃત ભારત’ ટ્રેનનું સત્તાવાર પરીક્ષણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન અમૃત ભારત ટ્રેનનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. હાલની ટ્રાયલ અને રેલવેના આયોજન મુજબ આગામી દિવસોમાં અમૃત ભારત ટ્રેન અમદાવાદથી પટના, દરભંગા જેવા રૂટ પર દોડાવાઈ શકે છે. તેનું ભાડું 1 હજાર કિલોમીટરે રૂ.500 હોવાનો અંદાજ છે. સામાન્ય રીતે હાઈ સ્પીડ ટ્રેનો (જેમ કે વંદે ભારત)માં માત્ર એસી કોચ ઉપલબ્ધ હોય છે, પરંતુ અમૃત ભારત ટ્રેન ગરીબ અને મધ્યમ વર્ગ માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં વંદે ભારત જેવી જ એરો ડાયનેમિક ડિઝાઇન ધરાવતાં એન્જિન છે. આ ટ્રેનના 22 કોચનું નિર્માણ આઈસીએફ ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. તેમાં ખાસ સસ્પેન્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે થયેલા ટ્રાયલ દરમિયાન આરડીએસઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ નવી હાઈ-સ્પીડ સેવા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આર્થિક મુસાફરીનો અનુભવ કરાવશે. અમદાવાદ-વારાણસી વચ્ચે દોડનારી અમૃત ભારત ટ્રેન માત્ર ઝડપ જ નહીં, પરંતુ મુસાફરોની સુરક્ષા અને બજેટમાં પણ પરવડશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે તો 1થી 2 કલાક ઘટશે, દુરન્તો-તેજસ કરતાં ઝડપી પહોંચાડશેઅત્યારે અમદાવાદથી જતી દુરન્તો એક્સપ્રેસ 7 કલાક અને તેજસ એક્સપ્રેસ 6 કલાક 40 મિનિટમાં મુંબઈ (493 કિલોમીટર) પહોંચાડે છે. જ્યારે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી પુશ-પુલ અમૃત ભારત ટ્રેન અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડાવાય તો 5 કલાક 48 મિનિટમાં મુંબઈ પહોંચાડી શકે. હાલ અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન 5 કલાક 35 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરે છે. શતાબ્દી એક્સપ્રેસ 6 કલાક 35 મિનિટમાં અને કર્ણાવતી એક્સપ્રેસ 7 કલાક 20 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે. 130 કિમીની સ્પીડ, બંને છેડે એન્જિન, ટ્રેન પુશ-પુલ ટેક્નોલોજીથી સજ્જ હશે

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ફાયર સેફ્ટી અંગે તાલીમ:જામનગરમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત તારીખ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહ ઉજવાશે. આ કાર્યક્રમના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા સલામતી સપ્તાહની શરૂઆત પ્રથમ દિવસે શાળા નં. ૬ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સપાલ પ્રશાંતભાઈ માધવચાર્ય દ્વારા શાળા સલામતી વિષયક માર્ગદર્શન આપતું પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરથી શાળા સલામતી સપ્તાહનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ફાયર વિભાગના સીએફઓ કે.કે. બિશ્નોઈના માર્ગદર્શન હેઠળ ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેશન ઓફિસર રાકેશભાઈ ગોકાણી તથા જતીનભાઈ ત્રિવેદી દ્વારા બેઝિક ફાયર સેફ્ટી અંગે તાલીમ અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટ ઓફિસર પરેશભાઈ રાઠોડ દ્વારા વિવિધ આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળા સલામતી સપ્તાહ દરમિયાન ફાયર વિભાગ, રેડ ક્રોસ, આગાખાન એજન્સી, 108 એમ્બ્યુલન્સ સેવા, રોડ સેફ્ટી વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે. સાથે સાથે વિવિધ આપત્તિ વિષયક પોસ્ટર પ્રદર્શન, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

વરણી:જામનગર શહેર સંગઠનમાં 24 લોકોની નિમણૂક અંતે કરાઈ

અંતે લાંબા સમય બાદ જામનગર શહેર સંગઠન અને વિવિધ મોરચાના હોદેદારોની નિમણૂકની જાહેરાત શહેર પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. જેમાં તમામ જ્ઞાતિ અને વોર્ડનો સમાવેશ થાય તે રીતે હોદેદારોને સમાવવામાં આવ્યા છે. જામનગર શહેર પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણૂકને લાંબો સમય વીતી જવા છતાં સંગઠનની નિમણૂક એક યા બીજી રીતે કરવામાં આવતી ન હતી. જે લાંબી ચર્ચા-વિચારણા બાદ હવે કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે વસ઼ંતભાઈ ગોરી, નિશાંતભાઈ અઘારા, દયાબેન પરમાર, વનીતાબેન કાલાવડીયા, હેમલભાઈ ચોટાઈ, વિજયભાઈ પરમાર, સંજયભાઈ મુંગરા, રીટાબેન જોટંગીયા, મહામંત્રી તરીકે વિજયસિંહ દોલતસિંહ જેઠવા, મૃગ્રેશ જગદીશચંદ્ર દવે, ભાવેશ વિઠ્ઠલભાઈ ઠુમ્મર ઉપરાંત આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે ચંદ્રવદન ત્રિવેદી અને કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ જોઈસરની નિમણૂક કરાઈ છે. સોશિયલ મીડિયા વિભાગમાં ધવલભાઈ નાખવા, આઈટી વિભાગમાં ગુંજ કારીયા અને મીડિયા વિભાગમાં ભાર્ગવ ઠાકરની નિમણૂક કરાઈ છે. યુવા મોરચા પ્રમુખ તરીકે સહદેવભાઈ ડાભી, મહિલા મોરચાના પ્રમુખ તરીકે દક્ષાબેન અગ્રાવત, કિસાન મોરચાના પ્રમુખ તરીકે હસમુખભાઈ પેઢડીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વિરલભાઈ બારડ, અનુ. જાતિના મોરચાના પ્રમુખ તરીકે દીપક શ્રીમાળી અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઉમરભાઇ બ્લોચની નિમણૂક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ઉજવણી:જામનગર જિલ્લાના પીરોટન ટાપુ ઉપર પ્રથમ વખત પ્રજાસત્તાક દિને ધ્વજવંદન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15મી ઓગષ્ટ તથા 26મી જાન્યુઆરી દરમિયાન દેશના ટાપુઓ ઉપર ધ્વજવંદન કરવામાટે અપાયેલા સુચન અનુસાર તેમજ ગુજરાત રાજ્યના કોસ્ટલ સિક્યુરિટી, વિભાગ ના પોલીસ મહાનિરીક્ષક ની સુચના અન્વયે તેમજ જામનગર ના જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તા.26મી જાન્યુઆરી-2026 ના રોજ સ્વતંત્ર ભારતના 77માં પ્રજાસતાક દિનની પીરોટન ટાપુ ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર તથા ગુજરાત સરકારનું સુરક્ષા તથા વહીવટી તંત્ર ભારતના છેવાડાના વિસ્તારો તેમજ ટાપુઓની સુરક્ષા માટે કટીબધ્ધ હોવાનો સંદેશો પહોંચાડવાના ભાગરૂપે તથા ભારતના 77માં પ્રજાસતાક દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલ પીરોટન ટાપુ ખાતે તા.26મી જાન્યુઆરી ના સવારે 08:45 વાગ્યે કોસ્ટલ સિક્યુરીટી, ગુ.રા. ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ માનકર ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. પીરોટન ટાપુ જેવા વ્યૂહાત્મક અને પર્યાવરણીય મહત્વ ધરાવતા વિસ્તારમાં સંયુક્ત રીતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવતાં સૌમાં દેશભક્તિનો ભાવ ઉજાગર થયો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

હવામાન:હાલારમાં બર્ફીલા પવનનું જોર વધ્યું, વાતાવરણ ઠંડુગાર બન્યું

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક ઠંડીમાં વધારો તો ક્યારેક રાહત, તો બીજી તરફ સૂસવાટાફ મારતા ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધતો જાય છે. જોકે બુધવારે શહેર તથા આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે લઘુમત તાપમાન દોઢ ડિગ્રીના વધારા સાથે 12 ડિગ્રી આસપાસ રહ્યું હતું. ભેજનું પ્રમાણ મહત્તમ 67ટકા નોંધાયું છે, જેના કારણે હવામાનમાં ભેજભર્યો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે.સવારના સમયે અને રાત્રિના કલાકોમાં લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. પરંતુ બુધવારે પારો દોઢ ડિગ્રી જેટલો ઊંચકાતા ઠંડીમાં થોડી રાહત જોવા મળી છે.હવામાનમાં આવેલા આ બદલાવને પગલે લોકો સવાર અને સાંજના સમયે હળવી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, જ્યારે બપોરના સમયે તાપમાન સહેજ સુખદ બનતાં બહાર નીકળવા માટે અનુકૂળ માહોલ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:હવે,તળાવ ફરતે ચાલવાનો પણ ચાર્જ ચૂકવવો પડશે!

પાલિકાનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ 31 જાન્યુઆરીએ સ્થાયીમાં રજૂ થશે. ગત વર્ષે મ્યુનિ. કમિશનરે રૂ. 6200 કરોડનું બજેટ મૂક્યું હતું. આ વર્ષે 900 કરોડનો વધારો કરી ~7100 કરોડનું બેજટ મુકાઇ શકે. જેમાં આવક વધારવા તળાવો ફરતે ચાલવાનો ચાર્જ વસૂલવા તૈયારી છે. પાલિકાના સૂત્રો મુજબ 29 જાન્યુઆરીએ બજેટ સ્થાયી સમિતિમાં મુકાવાની સંભાવના હતી. પણ હવે 31મીએ મ્યુનિ. કમિશનર સ્થાયીમાં રજૂ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ બજેટમાં આવક વધારવા માટે પાલિકા બાકી વેરાની કડક વસૂલાત સાથે કેબિન અને દુકાનો, પથારાના વર્ષોથી બાકી ભાડા વસૂલવા પર ભાર મૂક્યો છે. 20 જેટલી એલઈડી સ્કીન લગાવી વધુ જાહેરાત મેળવવા કામગીરી કરાશે. શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે પાલિકાના 100 પ્લોટને ભાડેથી આપી તેમજ પે એન્ડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ આપી આવક મેળવવાની કામગીરી કરાશે. સુત્રો મુજબ લોકો પાસેથી તળાવ ફરતે ચાલવાના રોજના રૂ.5થી 10 વસૂલવા અને પાસની વ્યવસ્થાની તૈયારી છે. જો કે ચૂંટણીને પગલે લાગત રદ પણ થઇ શકે છે. પાણી / 15 ટાંકીમાં ક્લોરિનેશન સિસ્ટમ કચરો / 1500 મેટ્રિક ટનનો કચરો પ્રોસેસ કરવા પ્લાન્ટ વરસાદી પાણી નિકાલ / તળાવો વધુ ઉંડા કરવાનો પાલિકાનો પ્લાન ટ્રાન્સપોર્ટેશન / શહેર-ગામો સુધી ઇ-બસો દોડાવાશે આઇટી / શહેરના 200 સ્થળે 650 સીસીટીવી લગાવાશે બિલ્ડિંગ પ્રોજેક્ટ / 2 સ્વિમિંગ પૂલ, 4 ઝોનમાં યોગ સેન્ટર બનશે હેરિટેજ કન્ઝર્વેશન / માંડવી સહિત 4 દરવાજાનું રિસ્ટોરેશન કરાશે વિશ્વામિત્રીના કિનારે વૉક-વે, ગાર્ડન બનશેવિશ્વામિત્રી નદીને ઉંડી કર્યા બાદ હવે કેટલાંક કિનારાઓ ઉપર વૉક-વે અને ગાર્ડન બનાવાશે. સાથે મગરો બાસ્કિંગ કરી શકે તે માટેનું આયોજન હાથ પર લેવાશે. જ્યારે વિશ્વામિત્રી નદીના પટમાં વિવિધ સ્થળોએ ઠાલવવામાં આવેલા કાટમાળને કાઢી તેને અટલાદરા પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

કાર્યવાહી:રાજપીપળા શહેરમાં 16 કિલોથી વધારે ખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો

નર્મદા જિલ્લાની જાહેર આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ગતરોજ રાજપીપળા શહેર ખાતે સઘન ચકાસણી કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ દુકાનો તપાસ દરમિયાન અખાદ્ય વસ્તુઓ મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી અંતર્ગત રાજપીપળા શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની લારી-ગલ્લા સહિત કુલ 53 જેટલા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાદ્યચીજોની સલામતી, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નિયમોના કડક અમલીકરણ માટે વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.તપાસ દરમિયાન સ્થળ પરથી બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજો મળી આવતા, આશરે 10 કિલો લાલ ચટણી, સિન્થેટિક ફૂડ કલર તેમજ ચાઈનીઝ-પુલાવ રાઈસ સહિત અંદાજે 16 થી 17 કિલોગ્રામ જેટલો ખયુાદ્યચીજનો જથ્થો યોગ્ય સ્થળે નાશ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

સંગઠનનું નવું માળખું જાહેર કરાયું:વલસાડ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો જાહેર, જુના, નવાનું સંગમ

વલસાડ જિલ્લા ભાજપ નવા સંગઠનમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી સાથે સંગઠનનું નવું માળખું જાહેર કરાયું છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારાએ જાહેર કરેલી સંગનઠન હોદ્દેદારોની યાદી મુજબ જિલ્લા ભાજપના 3 મહામંત્રી અગાઉ હતા,જે પૈકી કમલેશ પટેલને રીપીટ કરાયા છે.બીજામાં નિખિલ ચોકસી અને ગણેશ બિરારીને ઉપપ્રમુખ બનાવાયા છે. 8 ઉપપ્રમુખમાં કિશોર પટેલ માજી તા.પ્રમુખ, સુરેશ પટેલ,વાપી, સતિષ પટેલ, વાપી, જીગીત્સાબે ન પટેલ રીપીટ, મુકેશ તિવારી વાપી,નરેશ ‌વળવી ઉમરગામ,રમતુ ચૌધરી કપરાડા બન્યા છે.9 મંત્રીઓમાં વલસાડ તા.પં.ના સભ્ય ગીરીશ ટંડેલને મંત્રી તરીકે નિમણૂંક અપાઇ છે.આ ઉપરાંત કોષાધ્યક્ષ,કાર્યાલય મંત્રી, મીડિયા ઇન્ચાર્જ નિમણૂંકોમાં સોશ્યલ મીડિયા વિભાગમાં ચેતન પટેલ,આઇટી વિભાગમાં અક્ષય રાવલ અને મીડિયા વિભાગમાં ફરીથી ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર દિવ્યેશ કૈલાસનાથ પાંડેને જવાબદારી સોંપાઇ છે. યુવા મોરચા પ્રમુખ પ્રભાકર યાદવ ધરમપુર,મહામંત્રી મયંક પટેલ,કેવિન પટેલ,મહિલા મોરચામાં પ્રમુખ પ્રવિણા સમીર પટેલ, ડુંગરી, મહામંત્રી મનિષા પ્રિતમદાણી, ઉમરગામ,સુ નિતા તિવારી વાપી, કિસાન મોરચામાં પ્રમુખ રુપેશ પટેલ, વલસાડ, જયપ્રકાશ ભંડારી, ઉમરગામ, મુકુંદ પટેલ, પારડી, બક્ષીપંચ ઓબીસી મોરચામાં પ્રમુખ નિલેશ ભંડારી,ઉમરગામ, મહામંત્રી આનંદ પટેલ,ડુંગરી વલસાડ, મહામંત્રી તરીકે ગ્રેવિન ટંડેલ પારડી તાલુકાને નિમણૂંક અપાઇ છે. એસસી મોરચો પ્રમુખ તરીકે હેમંત પટેલ,વલસાડ,યોગેશ ભાલે ધરમપુર,સુમિત માહ્યાવંશી વાપી, એસટી મોરચો પ્રમુખ ધનેશ ચૌધરી, મહામંત્રી નિલેશ પટેલ, વલસાડ, રાજેશ વારલી, ઉમરગામ, લઘુમતિ મોરચો પ્રમુખ બુરઝિન ગોલીવાલા બાવાજી, વલસાડ, મહામંત્ રી મહમંદ ઇશા બાબલુભાઇ વાપી અને આમીર અબ્દુલ લતીફ શેખ, વલસાડ

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

કેસમાં ઉછાળો:4 માસમાં સિઝનલ શરદી અને ઉધરસના 3907 કેસ

વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ વાતાવરણમાં અનેક ચઢાવઉતાર વચ્ચે શરદીતાવ,સિઝનલ ફ્લુ.ઉધરસ જેવા સામાન્ય ગણાતાં છતાં દર્દીને પરેશાન કરતાં કેસો નોંધાતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.છેલ્લા ઓક્ટોબર 2025થી જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 3907 કેસ નોંધાઇ ચૂક્યા છે. ચોમાસું લંબાયા બાદ શિયાળો મોડો શરૂ થયો અને ઠંડીના વાતાવરણ વચ્ચે સતત ફેરફારોને લઇ સિઝનલ ફ્લુના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ કેસોને માસિક ધોરણે મૂલ્યાંકન કરવામાં આવે તો માસિક ધોરણે આંકડાની ગણતરીમાં ઓક્ટોબર માસમાં 1126 કેસ નોંધાયા હતા,જે નવેમ્બરમાં વધીને1187 કેસ પર આંકડો પહોંચી ગયો હતો. ડિસેમ્બર માસ દરમિયાન વલસાડ જિલ્લામાં તમામ તાલુકાના ગ્રામ્ય અને જિલ્લાના શહેરી વિસ્તારોમાં સૌથી વધુ 1349 કેસ સામે આવ્યા હતા.જ્યારે ચાલૂ માસ જાન્યુઆરી 2026 દરમિયાન કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થયેલો જોવા મળ્યો છે,પરંતું હજી જાન્યુઆરીના બે ત્રણ દિવસ બાકી છે ત્યારે કેટલો વધારોથશે તે જોવું રહ્યું.આ પરિસ્થિતિમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે અવેરનેસ અભિયાન શરૂ કરી દીધું છે.નાનાપોંઢા વિસ્તારમાંથી પણ 56 કેસ મળી આવ્યા છે. તાલુકાવાર કેસની સંખ્યા‎ ફ્લુ, શરદી, ઉધરસથી બચવા આટલું કરોવલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે હાથ ધરેલા અભિયાનમાં અવેરનેસ કેળવવા ભાર મૂક્યો છે.દરેક નાગરિકોએ ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરવું,સ્વચ્છતાનું ધ્યાન રાખવું,ગરમ પાણી પીવું જોઇએ.શરદી ખાંસી કે તાવ જેવા લક્ષ્ણો જો જણાય તો તાત્કાલિક પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તપાસ કરાવી લેવું જરૂરી છે.ડોકટરો ખાસ કરીને એવું જણાવી રહ્યા છે કે બાળકો,વૃધ્ધો અ્ને લાંબાસમયથી રોગ પિડીત નાગરિકોએ આ સંજોગો વચ્ચે તબિયતની ખાસ કાળજી લેવી તેવી સલાહ આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:વિદ્યાર્થીના રૂા.3 હજાર પડાવનાર ત્રિપુટી પૈકી ત્રીજો એસીપીનો ગનમેન હોવાનો ઘટસ્ફોટ, ફરિયાદીએ તસવીર જોઈ ઓળખ્યો

મ.સ.યુનિ.ના વિદ્યાર્થીની બુલેટ રોકી ટ્રાફિક પોલીસે રૂ.3 હજાર પડાવી લેવાના કેસની કવાયત વચ્ચે પોલીસની ત્રીપુટી પૈકી એક એસીપીનો ગન મેન હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થી દ્વારા ગન મેનની તસવીર જોઇ ઓળખ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીએ ઈન્કવાયરી શરૂ કરી છે. પીએસઆઇ તરીકે આવનાર ગનમેન ભીખાજી રતુજી કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું હતું. અટલાદરા રહેતા જગદીશ તિવારી પાસે ટ્રાફિક પોલીસે રૂ.3 હજાર પડાવી લીધા હતા. જગદીશે કહ્યું હતું કે, ભીખાજી મારી સામે પીએસઆઈના યુનિફોર્મમાં આવ્યા હતા. તેમણે મને અપશબ્દો બોલ્યા હતા અને બાઇકની ચાવી કાઢી લીધી હતી. મેં અપશબ્દો બોલવાનો ઈન્કાર કરતા તે મને શું કરી લઈશ કહી ધમકાવ્યો હતો. પોલીસ કમિશનરે કોન્સ્ટેબલ કિરણ જોગદીયાની બદલી હેડ ક્વાટર કરી હતી, ટીઆરબી યશપાલસિંહ સિંધાને ફરજ મુક્ત કરી દેવાયો હતો. જોકે ગનમેન ભીખાજી સામે કાર્યવાહી કરાઈ ન હતી. ડીસીપી ટ્રાફિક રૂષિકેશ ઉપાધ્યાયનો સંપર્ક કરતા તે થઈ શક્યો નહોતો. ગનમેન ભીખાજીએ કશું પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. અગાઉ યુવકને માર મારવાના કેસમાં કિરણ જોગદીયા સંડોવાયો હતો. કોન્સ્ટેબલ કિરણ અન્ય લોકોને સાથે રાખીને મને મળવા માટે બોલાવી રહ્યો છેકોન્સ્ટેબલ કિરણ અન્ય લોકોને સાથે રાખી મને મળવા બોલાવતો હતો. તે બીજા લોકોને સાથે રાખી મળવાનું કહે છે. જોકે મેં તેને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. મને પહેલાં પીએસઆઈના લીસ્ટમાં ભીખાભાઇનો અડધા મોઢાનો ફોટો બતાવ્યો હતો, મેં તેમને આખું મોઢુ બતાવવા કહ્યું હતું. ત્યારબાદ હવે ઓળખ થઈ છે. > જગદીશ તિવારી, વિદ્યાર્થી પોલીસકર્મી સામે ગુનો નોંધી સસ્પેન્ડ કરવાની માગ કરીકોન્સ્ટેબલ કિરણની હેડ ક્વાટર બદલી કરી દેવાઇ હતી. ગનમેન ભીખાજી સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે બંને પોલીસકર્મી સામે ગુનો નોંધી સસ્પેન્ડ કરવાની માગ જગદિશ તિવારીએ કરી હતી. બાઇકનો નહીં, હાથનો ફોટો લઈ મેમો આપ્યોજગદીશ તિવારીને રૂ.500નું ઈ-ચલણ અપાયું હતું. તેનો ફોટો બાઇક સાથે ન પાડી સયાજીગંજની જગ્યાએ ઉંડેરાનું સ્થળ જણાવી હથેળીનો ફોટો આપ્યો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

એસઆઈઆર:મતદાર યાદી સુધારણામાં બાપોદ સેન્ટર પર જાણ વિના ટોકન વહેંચણી કરાતાં મતદારોનો હોબાળો

મતદાર યાદી સુધારણાની કામગીરીમાં શહેરીજનોને નોટીસ ફાળવાઇ રહી છે. બાપોદ સહિત વિસ્તારોમાં ફાળવેલા સેન્ટરો પૈકી કેટલાક પર ટોકન તેમજ દસ્તાવેજોને લઈને મતદારોએ હોબાળો મચાવ્યો હતો. નોકરી-ધંધો છોડીને બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન લોકોએ દસ્તાવેજો આપવા આવવું પડ્યું હતું. જેમાં પણ જે લોકોને ટોકન મળી ન હતી તે લોકોને પાછા જવું પડ્યું હતું. બાપોદ સરકારી સ્કુલમાં મતદારોએ જણાવ્યું કે, અમારી પાસે આવેલી નોટિસમાં કયાં આવવું તે લખ્યું નથી. બપોરે 4 વાગે સેન્ટર પર પહોચ્યાં તો ખબર પડી કે 3થી 3:30 વાગ્યા સુધી ટોકન અપાઇ હતી. જેની જાણ મતદારોને કરાઇ ન હતી. સેન્ટર પર અવ્યવસ્થા સર્જાતા મતદારો અકળાયા હતાં અને અધિકારીઓને આ અંગે રજૂઆતો પણ કરી હતી. મતદારોના ગુસ્સાને જાણી અધિકારીએ ફરીથી બીજા દિવસે આવવા જણાવ્યું હતું. ટોકન વિશે કોઈ જાણ પણ નથીમારા પુત્રનું નામ મતદારયાદીમાં હોવા છતાં નોટીસ આપી હતી. 28મીએ બાપોદ સરકારી શાળામાં 4:30 વાગે જતાં ટોકન માગી હતી. મે ટોકન માંગતા 3થી 4માં અપાયાનું કહ્યું હતું. > ગોરધનભાઈ પરમાર, વાઘોડિયા રોડ નોટિસમાં કયા દસ્તાવેજ લાવવા તેની જાણ નથીમતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 1992માં જન્મેલી મારી પુત્રીનું નામ યાદીમાં સામેલ કરવા મને નોટીસ અપાઇ હતી. યોગ્ય માહિતી જેમકે મારે ક્યાં ઉપસ્થિત રહેવું અને કયા દસ્તાવેજો સાથે આવવું તેની સ્પષ્ટતા હતી નહી. જેના કારણે મારે નોકરીનો સમય બગાડી સ્થળ પર ગયા પછી બે અલગ અલગ દસ્તાવેજોની માંગણી કરતા ધક્કા ખાવા પડ્યાં હતાં. > અક્ષય શાહ, વાઘોડિયા રોડ

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

એઆઈપીઈએફે બિલ સંસદમાં રજૂ ન કરવા માગ કરી:વીજળી સુધારા બિલના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવા ચીમકી

ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને પાવર સેક્ટરના ખાનગીકરણ અને વીજળી સુધારા બીલ 2025 સામે વિરોધ કરી 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળની ચિમકી આપી કામના બહિષ્કારની ઔપચારીક સૂચના આપી હતી. અધ્યક્ષ શૈલેન્દ્ર દુબેએ કહ્યું કે, પ્રસ્તાવિત હડતાળ ભારતના જાહેર વીજ ક્ષેત્રને તોડી પાડવાની ધમકી આપતી નિતીઓ સામે વીજ કર્મીઓના ઊંડા ગુસ્સા અને ચિંતાને પ્રદર્શિત કરે છે. એઆઈપીઈએફે ચેતવણી આપી હતી કે, સંસદના બજેટ સત્રમાં વીજળી સુધારા બીલ 2025 રજૂ થશે તો દેશભરના વીજકર્મી તેમજ પાવર એન્જિનિયરો વીજળી વિરોધી કાર્યવાહી શરૂ કરશે. જેમાં કામ બંધ કરવું અને સામુહિક રસ્તા પર આંદોલનનો સમાવેશ થાય છે. ફેડરેશને માગ કરી હતી કે, વીજળી સુધારા બીલ 2025 પાછુ ખેંચવું. તે ખાનગીકરણ અને બહુ લાયસન્સિંગને પ્રોત્સાહન આપે છે, શાંતિ અધિનિયમ-2025, રાષ્ટ્રીય વીજળી નીતિ-2026, સ્માર્ટ મીટરિંગ પાછું ખેંચવું પડશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

સિટી એન્કર:ઓપરેશન સિંદૂરમાં આતંકવાદ પાછળ જેનો હાથ હોય તેને શોધી ખાત્મો બોલાવ્યો,દેશે દાયરો વધાર્યોઃ જનરલ મનોજ મુકુંદ નરવણે

સર્જિકલ સ્ટ્રાઇકમાં આતંકવાદી કેમ્પ નષ્ટ કર્યા હતા. ઓપરેશન સિંદૂરમાં આતંકવાદની કડી સુધી પહોંચી ખાત્મો બોલાવ્યો હતો. તેમ પારૂલ યુનિ.ના લિટરેચર ફેસ્ટમાં જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂરમાં પહેલીવાર આતંકવાદી ઓપરેશનની પાછળ જેનો હાથ હોય તેવા લોકોને ટાર્ગેટ કરીને ભારતે દાયરો વધાર્યો છે. પાકિસ્તાનને ખબર પડી ગઇ કે ભારત સાથે પ્રોકસી વોરમાં ફાયદો નથી. પાકિસ્તાને આ રસ્તો છોડી દેવો જોઇએ, વાટાઘાટોથી ઉકેલ લાવવો જોઇએ. ગલવાન બાદ ચીનને પણ સમજણ પડી કે, ભારત સાથે યુદ્ધ કરવું વિકલ્પ નથી. ટેકનોલોજી સદીઓથી ચાલે છે. ગન પાવડર આવ્યો ત્યારે તે નવી ટેકનોલોજી હતી. મશીન ગન તે સમયે નવી હતી. અત્યારે ડ્રોન નવી ટેકનોલોજી છે. ટ્રેડવોર વચ્ચે ભારતીય બનાવટના શસ્ત્રોનું મેન્યુફેક્ચરિંગ વધે તે જરૂરીજનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, ભારત સેના માટે હથીયારો બનાવવામાં આગળ પડતી ભૂમિકામાં છે. એમએસએમઇ હથિયારોના ઉત્પાદનમાં ભૂમીકા ભજવે તે જરૂરી છે. જે પ્રકારે અત્યારે ટ્રેડવોર ચાલે છે ત્યારે ભારતીય બનાવટના શસ્ત્રોનું મેન્યુફકચરીંગ વધે તે જરૂરી છે. આત્મનિર્ભર ભારતનું સૌથી મજબૂત પાસું મેક ઇન ઇન્ડીયાના હથિયારો હશે. સાહિત્ય માત્ર મનોરંજન કે હળવાશ માટે ન હોવું જોઇએ : જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડજસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડે લિટરેચર ફેસ્ટમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે, બંધારણ અધિકારો આપે છે, બીજાના અધિકારોને પણ સમજવાની જરૂર છે, તો જ સમાજમાં સંતુલન સધાશે. અભિવ્યક્તિના અધિકારનો ઉપયોગ એવી રીતે ન કરી શકાય કે જેનાથી બીજાને અભિવ્યક્તિના અધિકાર પ્રત્યે નફરત થાય. સાહિત્ય માત્ર મનોરંજન કે હળવાશ નથી, તે દ્રષ્ટિકોણ આપશે, પડકારશે, વિચારવા મજબૂર કરશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

લોકો પરેશાન:નાગરિકોને કાળું પાણી પીવડાવતા અધિકારીઓ મિનરલ વોટર પીવે છે

શહેરના જુના વાડી વિસ્તારની પાંચ પોળ અને તેની આસપાસના વિસ્તારમાં કાળા રંગનું પાણી આવતા લોકો પરેશાન છે. ત્યારે કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિક લોકોએ વોર્ડ કચેરીના તાળાબંધીનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પોલીસે પાંચથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસનું કહેવું હતું કે, અધિકારીઓ એસી ઓફિસમાં બેસી મિનરલ વોટર પીવે છે અને વેરો ભરતી પ્રજાને ગટરનું પાણી પીવડાવે છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલી પાંચ પોળ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી કાળા રંગનું આવી રહ્યું છે. અધિકારીઓ અને બોર્ડના કાઉન્સિલોનો રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા બુધવારે બોર્ડ 14 ના કોંગ્રેસના આગેવાનો સાથે સ્થાનિક લોકોનો મોરચો કાલુપુરામાં આવેલી વોર્ડ 14ની કચેરીએ પહોંચ્યો હતો. વોર્ડ કચેરીમાં ગટરના પાણી ઠાલવી વિરોધ કર્યો હતો. શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોહટીકરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. પ્રજા લાખો વેરો ભરે છે છતાં તેનું વળતર આપવામાં તંત્ર નિષ્ફળ નીકળ્યું છે. બીજી તરફ વોર્ડ 14ના ઉપપ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અધિકારીઓ એસી ઓફિસમાં બેસી મિનરલ વોટર પીવે છે અને પ્રજા વેરો ભરે છે છતાં તેમને ગટરનું પાણી પીવડાવે છે. શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અમર ઢોમસેએ તંત્રની આકરી ટીકા કરી કહ્યું હતું કે, આ તંત્ર વાડી વિસ્તારમાં ઈન્દોર અને ગાંધીનગર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અધિકારીની ખુરશી પર ગંદા પાણીની બોટલ મૂકીને વિરોધવોર્ડ 14ના કોંગ્રેસના કાર્યકરો રજૂઆત સાથે વિરોધ કરવા માટે કચેરીમાં પહોંચ્યા હતા. ગંદા પાણીની બોટલ સાથે કોંગ્રેસી કાર્યકરો પહોંચે તે પૂર્વે જ અધિકારીઓ ગાયબ થયા હતા. અધિકારીઓની ખાલી ખુરશી જોઈ કોંગ્રેસી કાર્યકરોએ રોષે ભરાયા હતા. તેઓએ ગંદા પાણીની બોટલ અધિકારીની ખુરશી પર મૂકી વિરોધ દર્શાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

દંડની વસૂલાત:નવસારી ખનીજ વિભાગે 41 કેસ નોંધી 26.30 લાખનો દંડ વસૂલ્યો

નવસારી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોર સામે છેલ્લા એક માસમાં 41 કેસ કરી 26.30 લાખનો દંડની વસૂલાત કરી હતી. નવસારી જિલ્લા કલેક્ટર સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા બિનઅધિકૃત ખનન અને પરિવહન સામે લાલ આંખ કરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રી પી.આર. ખાંભલા અને તેમની ક્ષેત્રીય ટીમ દ્વારા જાન્યુઆરી-2026 દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દિવસ-રાત આકસ્મિક તપાસ હાથ ધરી ખનીજ ચોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ખનીજના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહના કુલ 41 કેસ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ એક્ષકેવેટર મશીનો, ટ્રક, ડમ્પર, ટેમ્પો અને યાંત્રિક નાવડીઓ સહિતના વાહનો સીઝ કરવામાં આવ્યા છે. આ તમામ કસૂરવારો વિરુદ્ધ ગુજરાત મીનરલ્સ રૂલ્સ-2017 મુજબ દંડકીય કાર્યવાહી હાથ ધરી, જાન્યુઆરી માસમાં રૂ. 26.30 લાખની દંડકીય વસૂલાત કરવામાં આવી છે.ભૂસ્તર વિભાગની આ આક્રમક કાર્યવાહીને પગલે જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભૂસ્તર વિભાગે 7 નાવડી, 9 ગાડી રોયલ્ટી વિના જપ્ત કરી કુલ રૂ. 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 9 વાહનોને 30 દિવસ માટે સીઝ કરાયાકમિશ્નર ગાંધીનગરના તાજેતરના પરિપત્ર મુજબ, રોયલ્ટી વગર સાદી રેતીનું વહન કરતી 9 ગાડીઓને 30 દિવસ માટે સીઝ કરી દેવામાં આવી છે. ઉપરાંત 41 કેસ અને 26.30 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે. > પી.આર.ખાંભલા, ભૂસ્તર શાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દાંડીના બ્લુ ફ્લેગ બીચ પ્રોજેક્ટ પૂર્ણ‎થવા પહેલા થયેલ કામગીરી વેરવિખેર‎

ભદ્રેશ નાયકત્રણ વર્ષ અગાઉ શરૂ કરાયેલ નવસારીનો મહત્વાકાંક્ષી દાંડી બ્લુ ફ્લેગ બીચ પ્રોજેક્ટના થયેલ પ્રકલ્પ તૂટતા લાગ્યા છે તથા પોણા બે વર્ષથી કામ બંધ છે. રાજ્યના અન્ય કેટલાક બીચ સાથે અહીંના ઐતિહાસિક દાંડીના બીચ ઉપર સુવિધા, સલામતી અને પર્યાવરણ ફ્રેન્ડલી બનાવી આંતરરાષ્ટ્રીય કક્ષાનું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવા સરકારે પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. 2023 માં પ્રોજેક્ટની કામ સરકારના ઇકોલોજી વિભાગના નેજા હેઠળ હાથ પણ ધરાયું હતું. જોકે અચાનક જ મે-2024ના અરસામાં બંધ થઈ ગયું હતું. આ દરમિયાન બીચ નજીક વાંસના અનેક ઈકો ફ્રેન્ડલી પ્રકલ્પ પણ ઊભા કરાયા હતા. કામ બંધ થયા બાદ શરૂ થઈ પૂર્ણ કરાશે એવું આશ્વાસન અપાયું પણ એમ થયું નથી અને પોણા બે વર્ષથી કામ બંધ જ છે. કામ બંધ થયા બાદ સ્થિતિ બદતર થવા માંડી છે. ગેટ કાઢી લેવાયો છે. વાંસના બનાવાયેલ અનેક કામ વેરવિખેર થવા લાગ્યા છે અને પ્રોજેક્ટની ભાવિ અંધકારમય બન્યું છે. આ પ્રોજેક્ટ હવે સરકારના ઇકોલોજી વિભાગ પાસેથી ગીર ફાઉન્ડેશન વિભાગની નિગરાનીમાં ઘણા સમયથી આવ્યો છે પણ પડેલ ઘોચ ઉકેલાતી નથી. દાંડી બીચનો બીજો પ્રોજેક્ટ પણ અટવાયો દાંડીમાં મીઠા સત્યાગ્રહની યાદમાં નેશનલ સોલ્ટ મેમોરિયલ તો બન્યું પણ અહીં દરિયાકિનારો સારો હોય બીચ ટુરિઝમને પણ અવકાશ છે. આમ તો સાતેક વર્ષ અગાઉ બીચ વિકાસનો એક પ્રોજેક્ટ બન્યો હતો પણ ડ્રેનેજ વિભાગ અને જંગલ વિભાગ વચ્ચે પ્રોજેક્ટ અટવાતા બની શક્યો નહીં. હવે આ બીજો પ્રોજેક્ટ પણ અટવાઈ રહ્યાનું જણાયું છે. આ સ્થિતિમાં દાંડી બીચ ઉપર પૂરતી સુવિધા મળવાની આશા ધૂંધવાઈ જ છે. સ્થાનિક લેવલે પ્રોજેક્ટ ચલાવવા કોઈ મળતું નથી અગાઉ આ પ્રોજેક્ટ સરકારના ઇકોલોજી વિભાગ હસ્તક હતી, જે હવે ગીર ફાઉન્ડેશન હસ્તક મૂકી દેવાયો છે. ગીર ફાઉન્ડેશન પાસે ગયાને લગભગ પોણો વર્ષ થયો. આ દરમિયાન તેના અધિકારી દાંડી આવ્યા પણ પ્રોજેક્ટ આગળ વધ્યો નથી. આ દરમિયાન આધારભૂત સૂત્રો જણાવે છે કે ફાઉન્ડેશન દ્વારા આ પ્રોજેક્ટ સ્થાનિક લેવલે સુપરત કરવા બેઠક કરી હતી પણ આ અધૂરા પ્રોજેક્ટ લેવા હાલ સુધી તો કોઈ મળ્યું નથી. એક કારણ જે હાલત પ્રોજેક્ટની દાંડીમાં છે, કામ તૂટવા લાગ્યું છે, ચલાવવા માટે નાણાં, સ્ટાફ વગેરે લઈ મુશ્કેલી છે. જો નજીકના દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો થોડું બચી ગયેલ કામ પણ વેરવિખેર થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:પયંગબર સાહેબ પર વિવાદિત નિવેદન‎આપનારાઓ હતા ફૈઝાનના નિશાન પર‎

મૂળ યુપીના પણ નવસારીમાં પાંચ વર્ષથી સિલાઈ કામ કરતા 22 વર્ષીય યુવાને સોશિયલ મીડિયા થકી આંતકી પ્રવૃત્તિ કરતા સંગઠનના ગ્રુપમાં સામેલ થયો અને ધાર્મિક નિવેદનો કરનારને મારી નાંખવાના ષડયંત્ર કરનાર ફૈઝાન શેખની એટીએસ એ અટક કરી હતી. નવસારીના ઝારાવાડમાં શૂટ બનાવવાની સિલાઈ કરી આર્થિક ગુજરાન ચલાવતો હતો. છેલ્લા છ માસથી સોશિયલ મીડિયામાં મહમદ અબુ બકર નામના યુવાન સાથે સતત સંપર્કમાં હતો. છેલ્લા ત્રણ માસમાં એક એવું ગ્રુપમાં જોડાયો હતો. જેમાં પયંગબર સાહેબ ઉપર કથિત રીતે ગુસ્તાખી કરી હોય અને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોય તેમને મારવાની યોજના બનાવી હતી. આ નામોમાં દિલ્હીના અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડો.પ્રકાશ, યુધી રાણા, અક્ક પંડીત અને વિક્રાંતના નામનો સમાવેશ થાય છે. આ તમામને કેવી રીતે મારવા તે માટે ફોટા અને નામ વાયરલ કર્યા હતા, જે માટે યુપીથી રિવોલ્વર અને જીવતા કારતૂસ ખરીદ કર્યા હતા. એટીએસ દ્વારા આતંક ફેલાવવાનું અને જેહાદ મારફતે કાશ્મીરને ભારતથી છૂટું પાડવાનું કાવત્રુ કરી હથિયાર ખરીદ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત આતંકી ફૈઝાનની ધરપકડ બાદ તેના દ્વારા અબુ બકર સાથે થતી ચેટ તેમજ ટેલિગ્રામ ગ્રુપોમાં પ્રિમિયમ ટેલિગ્રામ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો. ટેલિગ્રામ એકાઉન્ટ અત્યાર સુધીની તપાસમાં મળ્યા પણ પ્રિમિયમ ટેલિગ્રામ આરોપી પાસે કયાંથી આવ્યું તે તપાસ પોલીસ કરી રહી છે. નવસારી કોર્ટમાં આરોપી ફૈઝાનને રજૂ કરતા સરકારી વકીલ રતનલાલ ક્ષત્રિયએ દલીલો કરી હતી. જેમાં આરોપી ક્યાંથી હથિયાર લાવ્યો, કોણ આપી ગયું, કોણ નિશાના પર હતા તે બાબતે 14 દિવસના રિમાન્ડ માંગ્યા પણ કોર્ટે 12 દિવસના મંજૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

સુરત-અમદાવાદ હાઈવે બંને વાહનો ખાડામાં પટકાયા:જાંબુવા નજીક કારે ટક્કર મારતાં બાઈકચાલકનું મોત, અન્યને ઈજા

નેશનલ હાઈવે 48 પર જાંબુવા નજીક સુરતથી અમદાવાદ તરફ જતા હાઈવે પર કારે બાઈકને અડફેટે લેતા બંને વાહનો હાઈવેની બાજુમાં આવેલા ખાડામાં પટકાયા હતા. ઘટનાને પગલે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. તો બીજી બાજુ બાઈકની પાછળ બેઠેલા યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. બાઈક ચાલકના ભાઈએ કપૂરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વડસર કોટેશ્વર મહાદેવ ગામમાં રહેતા 47 વર્ષીય મુકેશ ચૌહાણ વાયરિંગનું કામ કરતા હતા. બુધવારે તે બાઈક લઈને પોર ખાતે કામ માટે ગયા હતા ત્યારે તેમની સાથે રજની પટેલ પણ હતા. કામ પૂરુ કરીને તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે બાઈક મૂકેશભાઈ ચલાવી રહ્યા હતા અને રજનીભાઈ પાછળ બેઠા હતા. ત્યારે જાંબુવા નજીક એક કાર પાછળથી પૂરઝડપે આવી હતી અને બાઈકને ટક્કર મારી હતી. જેને કારણે બાઈક અને કાર હાઈવેની બાજૂમાં આવેલા ખાડામાં પટકાયા હતા. ઘટનાને પગલે મુકેશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું. કારચાલક દીકરાની કંકોત્રીના કામે વડોદરા આવી રહ્યા હતાકાયાવરોહણથી ભાવેશ ગાંધી દીકરાના લગ્નની કંકોત્રીના કામે વડોદરા આવતા હતા ત્યારે કાર તેમના કાબૂમાં ન રહી અને અકસ્માત થયો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:ડીઈઓ કચેરી જ હેલ્પલેસ: બોર્ડ પરીક્ષાને માત્ર 28 દિવસ બાકી છતાં હેલ્પલાઇન શરૂ ના કરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડ પરીક્ષાને આડે હવે માત્ર 28 દિવસનો જ સમય બાકી રહ્યો છે ત્યારે આ વખતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાઈ ના હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણ કેવી રીતે દૂર કરવી તે અંગે મૂંઝાયા છે. ડિસેમ્બર મહિના પહેલા શરૂ થતી હેલ્પલાઇન આ વર્ષે અત્યાર સુધી શરૂ જ કરાઈ નથી. દર વર્ષે કાઉન્સિલરોની ટીમ બનાવી તેમના મોબાઇલ નંબર જાહેર કરાઇ છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાતી બોર્ડ પરીક્ષાઓને લઇને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દર વર્ષે કાઉન્સિલરોની નિમણૂક કરી તેમના મોબાઇલ નંબર પણ આપવામાં આવતા હોય છે. જેના પર વિદ્યાર્થીઓ દ્વારા ફોન કરીને તેમની મૂંઝવણો જણાવતા હોય છે. કાઉન્સિલરો દ્વારા વિદ્યાર્થીને ડિપ્રેશન કે અન્ય મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય છે. ગત વર્ષે બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા ડીઈઓ કચેરીએ 11 કાઉન્સિલરોની એક ટીમ બનાવી હતી. આ ટીમમાં 5 આચાર્ય, 4 માધ્યમિક શિક્ષકો અને 2 સાયકોલોજિસ્ટ તથા કાઉન્સિલરોનો સમાવેશ કરાયો હતો. બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાંથી ઘણા તણાવ-ગભરાટનો અનુભવ કરતા હોય છે અથવા તો તેમને પરીક્ષાની પેપર સ્ટાઈલ, પ્રશ્નો, પરીક્ષાની તૈયારી જેવા વિવિધ મુદ્દાઓને મૂંઝવણ હોય છે તેનો ઉકેલ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવતો હોય છે. જોકે આ વખતે જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો તેમ છતાં હેલ્પ લાઇન શરૂ કરવા માટેના કોઇ ઠેકાણા નથી. પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ પણ જનરેટ થઇ ગઇબોર્ડ પરીક્ષામાં લેવાનારી પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ પણ જનરેટ કરી દેવામાં આવી છે. ત્યારે હજુ સુધી વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી નથી. બોર્ડના વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત છે પરંતુ તેમને જે મૂંઝવણો છે તે દૂર થઇ રહી નથી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અંધેર વહીવટ, અનેક ફરિયાદ પણ મળીજિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અંધેર વહીવટ જેવી સ્થિતિ સર્જાઇ છે. ડીઇઓ પોતે ઇન્ચાર્જ છે. તેઓ ડીપીઓની પોસ્ટ પર છે ત્યારે તેમની પાસે જિલ્લા અને શહેર બંનેની જવાબદારી છે. કચેરીનો વહીવટ કથળી ગયો છે, જેના માટે અનેક ફરિયાદો પણ થઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

કર્મચારીઓએ જ થાંભલેથી ઉતાર્યા, સારવાર માટે ખસેડાયા:અટલાદરામાં દોરા કાઢવા થાંભલે ચઢેલા આસિ.લાઈનમેનને કરંટ લાગતાં દાઝ્યા

અટલાદરા બ્રહ્માકુમારીઝ પાસે હરીદર્શન ફીડરમાં પતંગના દોરા કાઢવા આસિસ્ટન્ટ લાઈન મેન વીજ થાંભલા પર ચઢ્યો હતો. તેને કરંટ લાગતા સારવાર માટે લઈ જવાયો હતો. એમજીવીસીએલ વીજ થાંભલા પર ભરાયેલા પતંગના દોરા કાઢી રહી છે. બુધવારે સવારે અટલાદરા હરીનગર ફીડરમાં મહેશ વાળીયા વીજ થાંભલે ચઢ્યા હતા, 3 કર્મચારી પોલ નીચે કામ કરતા હતા. તેઓએ લાઈન બંધ કરી પરંતુ એક લાઈન ચાલુ રહેતાં તણખો ઝરતાં મહેશભાઈ દાઝ્યા હતા. બ્રહ્માકુમારીના અરૂણાદીદીએ જણાવ્યું કે, સવારે 7થી 12 શટડાઊન હતુ. વીજકર્મી થાંભલે ચડ્યા બાદ ચોટી ગયા હતા. સેવકોએ 108ને જાણ કરી હતી. વીજકર્મીએ કર્મચારી આવી ગયા હતા અને દાઝી ગયેલા અને વીજ કર્મીને નીચે ઉતાર્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કર્મીએ બોર્ડ ન વાંચ્યું હોય તેમ બની શકે છેફિડરનું મેન્ટેન્સ ચાલતું હતું, હરિદર્શન ફિડર પર ઘટના બની હતી. ફિડર બંધ હતું. સેફ્ટીના સાધન હતા. બીજી લાઇન ચાલુ હતી, ડબલ સપ્લાયનું બોર્ડ ન વાંચ્યું હોય તેમ બની શકે છે. > સોમાભાઈ તાવિયાડ, એક્સિ.એન્જિ, વિશ્વામિત્રી પશ્ચિમ.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:પ્રેમ લગ્ન બાદ ઉશ્કેરાયેલા યુવતીના સગાંનો યુવકના ભાઈ પર હુમલો, પાંચ ઝડપી પાડ્યા

પ્રેમ લગ્ન કર્યા બાદ ઉશ્કેરાયેલા યુવતીના સગાઓ દ્વારા યુવકના માસીના દીકરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે આ મામલાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરતા છેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. બાદમાં વાડી પોલીસે મારામારીનો ગંભીર ગુનો નોંધી 5 હુમલખોરોને ઝડપી પાડ્યા હતા. જેમને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા જેલ ભેગા કરવામાં આવ્યા છે. હુમલાખોરો સામે અગાઉ પોલીસે કાર્યવાહી કરી હોવા છતાં પોલીસનો ડર રાખ્યા વગર હુમલો કર્યો હતો. હુમલામાં શરીર ઉપર અનેક જગ્યાએ ફેક્ચર થયેલા યુવકના માસીના દીકરા ગૌરવ કિરણભાઈ ચિંચાવલેએ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, માસી વર્ષાબેને મને 25મીએ ફોન કર્યો હતો. જેમાં એમના દીકરા રોનકે પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેનો વિવાદ થયો હતો. યુવતીના સગા સમાધાન માટે આવેલા છે. ગૌરવ માસીની દુકાને પહોંચ્યો હતો. જ્યાં સમાધાનની વાત કરી ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે હુમલખોરોએ અપ્સરા સ્કાયલાઇન પાસે અટકાવ્યો હતો. જે મોપેડ અને રિક્ષા લઈ આવ્યા હતા અને રાકેશ મોરે સહિત પાંચ જણા ગૌરવ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં લોખંડની પાઇપથી ગૌરવને માર મારતા એને પગ અને હાથમાં પાંચ ફેક્ચર થયા હતા. આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા અકસ્માત બાદ ઝઘડાનો સામાન્ય મામલો હોવાનું કહી કાર્યવાહી કરતા અંતે પોલીસ કમિશનરથી માંડી ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગંભીર પ્રકારના ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તમામને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. યુવકને મારી નાંખવાની ધમકી આપી હતીપુત્ર રોનકે પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ વિવાદ થયો હતો. જેના કારણે યુવતીના સગાઓ દ્વારા રોનક ની માતાને ધમકી આપવામાં આવી હતી. વર્ષાબેને નવાપુરા પોલીસ મથકે પુત્રના લગ્ન સર્ટિફિકેટ રજૂ કરી રોનકને મારી નાખવાની ધમકી આપનારા સામે ફરિયાદ કરી હતી. પરિણામે નવાપુરા પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. છતાં હુમલાખોરોએ હિંમત કરી રોનકના માસીના દીકરા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ઝડપાયેલા હુમલાખોરો

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

શિક્ષણ:પોરબંદર જિલ્લાના 6 સેન્ટરમાં 1081 વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટી આપી

પોરબંદર જિલ્લા શિષણાધિકારી કચેરી દ્વારા સમગ્ર જિલ્લાના 4 સેન્ટરો પર ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના 6 સેન્ટરમાં કુલ 1081 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તો આ પરીક્ષામાં કુલ નોંધાયેલ 1326 વિદ્યાર્થીઓમાંથી 245 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ 28 જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં આ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ.પોરબંદરમાં પણ આ પરીક્ષાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અલગ અલગ 6 સેન્ટરો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 1081 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.પોરબંદર જિલ્લામાં પ્રખરતા શોધ કસોટી માટે કુલ 1326 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી આ પરીક્ષામાં 245 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ વર્ષે પેપર સરળ રહ્યું-વિદ્યાર્થી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પેપર સરળ હતું. ગુજરાતી, અંગ્રેજી અને ઇતિહાસના પણ સરળ પ્રશ્નો પુછાયા હતા જેથી મેરીટ પણ ઊંચું જશે.> વિદ્યાર્થી

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

લો બોલો... AMCએ હવે આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું:પ્રહલાદનગર રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા બે વર્ષ પહેલા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યું, 350 કરોડમાં વેચી મારશે

અમદાવાદમાં કરોડો રૂપિયાની કિંમતની જમીન પર પ્રજાના પૈસે મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોની સુવિધા ઉભી કરવામાં આવે છે, પરંતુ બાદમાં તેવા જ બિલ્ડીંગોને હવે વેચવા પડે તેવી સ્થિતિ થઈ છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 76 કરોડથી વધુના ખર્ચે બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચવા કાઢવામાં આવ્યું છે. ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં જમીન અને બિલ્ડીંગની કિંમત મળી કુલ 350 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કોમ્પલેક્ષને વેચવામાં આવતા વિપક્ષે આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું અને હવે તેને બે વર્ષમાં જ વેચવા કાઢવું પડ્યું છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનના મલ્ટીલેવલ પાર્કિંગોના અણઘડ આયોજનનો નમુનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પાર્કિંગની જગ્યા વેચવા મુકીશહેરમાં રોડ પર ટ્રાફિક સમસ્યા માટે પાર્કિંગ પણ એક કારણ છે જેથી પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવી રહી છે અને પાર્કિંગ તેમજ તેની બિલ્ડીંગોમાં આવેલી ઓફિસો તેમજ દુકાનો વેચવા માટે પણ તંત્રને ફાંફા પડી રહ્યા છે. પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગની ઉપરની આવેલી દુકાનો- ઓફિસો વેચવા માટે 4 વખત ટેન્ડર કરવા છતાં કોઇ ખરીદદાર નહી મળતાં આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગની જગ્યા સહિત તમામ મિલકત વેચવા માટે મુકી છે. જેની અંદાજિત કિંમત 350 કરોડ રૂપિયા મૂકવામાં આવી છે. પ્રાઇમ લોકેશન છતાં કોઈ ખરીદદાર મળ્યા નથીમ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ વિપક્ષના નેતાએ આ મુદ્દે કહ્યું હતું કે, મલ્ટી લેવલ પાર્કિંગ એક નમૂનો છે. પ્રહલાદ નગર પાર્કિંગ બે વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે. હવે પૂરું પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચવા કાઢ્યું છે. પ્રાઇમ લોકેશન હોવા છતાં પણ કોઈ ખરીદદાર મળ્યા નથી, ત્યારે કરોડો રૂપિયાની કિંમતના આવા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચવા પડ્યા છે. વિપક્ષના નેતાના આક્ષેપના પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં કોમનવેલ્થ અને ઓલમ્પિક આવી અમદાવાદમાં આવી રહી છે. ત્યારે પાર્કિંગની સુવિધા સાથે લોકોને બિઝનેસ થાય તેના માટે આ મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચાણમાં મૂકવામાં આવ્યું છે. 76 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાયુંશહેરના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 76 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. જોકે, બે વર્ષ પહેલાં બનેલા આ મલ્ટીલેવલ પાર્કિંગ સતત ખાલી રહેતું હતું. મલ્ટીલેવલ પાર્કિંગમાં 2થી 4 માળ પાર્કિંગ માટે અને તેથી ઉપરના તમામ ફ્લોરને ઓફિસો માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો માટે વેચાણ કરવાનો નિર્ણય કરાયો હતો. જે માટે તેની તે સમયે પ્રતિ ચો.મી. કિંમત રૂ. 4.03 લાખ અને બાંધકામના રૂ. 76.11 કરોડ નક્કી કરાયા હતા. જે લેખે ભાવ મુકવામાં આવ્યો હતો. બે વખત વેચાણ માટે જાહેરખબર આપવા છતાં કોઇ ખરીદદાર મળ્યા નહીં. નાગરીકો માટે બનાવેલા પાર્કિંગની મિલકત ખાનગી વ્યક્તિ વેચવા દરખાસ્તમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદ નગર મલ્ટીલેવલ પાર્કિંગમાં તમામ ઓફિસો અને ફ્લોરને વેચવા માટે આ મિલકતોનો ભાવ ઘટાડી રૂ. 3.96 લાખ પ્રતિ ચો.મી. નક્કી કરાયો હતો. તે બાદ પણ બે વખત જાહેર હરાજી કરવામાં આવી હોવા છતાં કોઇ ખરીદાર મળ્યો ન હતો. કુલ ચાર વખત પ્રહલાદ નગર મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલા પાંચમા માળથી આઠમા માળ અને ગ્રાઉન્ડ ફ્લોર સહિતની દુકાનોને વેચવા માટે જાહેરાત કરવા છતાં કોઈએ રસ ના દાખવતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનએ પાર્કિંગ સહિતની તમામ જગ્યા વેચવા માટે તૈયારી દર્શાવી છે. આ જગ્યા 349.69 કરોડમાં વેચાણ માટે મુકી છે. ત્યારે જ્યાં નાગરીકો માટે બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગની આખી મિલકત જ ખાનગી વ્યક્તિને વેચી દેવા માટે સ્ટેન઼્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:05 am

અમદાવાદમાં ટ્રાફિક ઘટવાની જગ્યાએ વધશે:બ્રિજ ઉતરતા જ ચાર રસ્તાને કારણે લોકો ટ્રાફિકમાં ફસાશે, આ રહ્યાં ટ્રાફિકજામના 13 હોટ સ્પોટ

શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્ય જંકશનનો પર સર્વે કરીને બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ડિઝાઇન કન્સલ્ટન્ટના અણઘણ આયોજનના કારણે ટ્રાફિક સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતાએ શહેરના 13 જેટલા જંકશન પર ટ્રાફિકની સમસ્યા વધારે હોય તેનું લિસ્ટ અને તેના કારણો રજૂ કર્યા હતા. શહેરના અલગ અલગ ઓવરબ્રિજ ઉતરતા થોડા મીટરના અંતરે જ તરત જ ટ્રાફિક જંકશન આવી જાય છે. જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવવું પડે છે. ટ્રાફિકની સમસ્યા દૂર થવાની જગ્યાએ વધી રહી છે. નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી નથીવિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા બ્રિજ બનાવવામાં આવ્યા છે, પરંતુ નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી નથી. AMC તંત્ર અને શાસકો દ્વારા ઓવરબ્રિજ બનાવતા પહેલાં કેવો સર્વે કરવામાં આવ્યો હતો? એવો તેમણે પ્રશ્ન કર્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરાયેલા ફ્લાયઓવરનો છેડો બે-ત્રણ જંક્શન પહેલાં જ પૂરો થતો હોવાને કારણે ટ્રાફિક જામ થાય છે અને બ્રિજના છેડે આવીને વાહનચાલકોને બ્રેક મારીને વાહન ઉભા રાખવાની ફરજ પડે છે અને તેના કારણે કેટલીકવાર અકસ્માત સર્જાય છે. ટ્રાફિકની સમસ્યાઓ દૂર થવાની જગ્યાએ વધીમ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ધીનું દેવાળું ફૂંકી રહ્યા છે. કોઈપણ પ્રકારનો યોગ્ય સર્વે કરવામાં આવતો નથી. દિન પ્રતિદિન બ્રિજ પ્રોજેક્ટ વિભાગ વિવાદમાં આવી રહ્યો છે. તેમની ડિઝાઇનમાં ખામી હોય છે જેથી ટ્રાફિકની સમસ્યાઓ દૂર થવાની જગ્યાએ વધી રહી છે. વાડજ સર્કલ પરના બિજનો છેડો વાડજ સ્મશાન ગૃહ રિવરફ્રન્ટ પર આવે છે. ઈન્કમટેક્સ બ્રિજનો છેડો ઉસ્માનપુરા ચાર રસ્તે પૂરો થાય છે. ઘાટલોડિયામાં તૈયાર કરાયેલા ઓવરબ્રિજનો છેડો ડમરૂ સર્કલ પૂરો થાય છે. IIM બ્રિજનો છેડો વસ્ત્રાપુરના ત્રણ રસ્તે પૂરો થાય છેબાપુનગરમાં દિનેશ ચેમ્બર્સ બ્રિજનો છેડો હરદાસબાપુ ચોક પાસે પૂરો થાય છે. શ્યામાપ્રસાદ મુખર્જી બિજને છેડી જીવરાજપાર્ક ચાર રસ્તે પૂરો થાય છે. IIM બ્રિજનો છેડો વસ્ત્રાપુર ગામતળના ત્રણ રસ્તે પૂરો થાય છે. CN વિદ્યાલય અને રસાલા ગાર્ડન પાસે ટ્રાપિક જામ થાય છે. નવરંગપુરા રેલવે ક્રોસિંગને ફાટકમુક્ત બનાવાયું નથી. જંક્શનો ડેવલપ કરવા યોગ્ય નીતિ ન હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. જુઓ ટ્રાફિક જામના 13 હોટ સ્પોટનું લિસ્ટ અને કારણો

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:05 am

જૈશ-એ-મોહમ્મદ ને અલ-કાયદા સાથે જોડાયેલા આતંકીએ 7 લોકોની યાદી બનાવી:દિલ્હી, યુપીના લોકોના નામ મળ્યા, આ લોકોને દુનિયા જોતી રહે તે રીતે મારવા હથિયાર પણ ખરીદ્યા

ગત 25 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો, ત્યારે દરજીકામ કરતો ફૈઝાન શેખ આતંકવાદી સંગઠનોના પ્રભાવમાં આવીને દેશમાં આતંક ફેલાવવાની ફિરાકમાં હતો. જેની માટે તેણે એક પિસ્ટલ અને છ કારતુસ પણ ખરીદ્યા હતા. ફેઝાન શેખે ઇસ્લામ અને પયગંબર વિરૂદ્ધ સ્ટેટમેન્ટ આપનાર લોકોની યાદી બનાવી તેમની હત્યા કરવાની યોજના ઘડી હતી. ફેઝાને સાત લોકોની યાદી બનાવી હતી. જે ATSને મળી છે. ફૈઝાને આ સાત લોકોને એવી રીતે મારવા કે દુનિયા જોતી રહે તેવી વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હતી. ઉર્દૂ અને અરબી ભાષામાં 29 પાનાનું સાહિત્ય પણ મળ્યુંફૈઝાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના આતંકવાદીઓ સાથે પણ સંપર્કમાં હતો અને તેમના ઈશારે કોઈપણ ઘટનાને અંજામ આપવા તૈયાર હોવાનું તેણે કબુલ્યું હતું. જોકે, તેનો આ ઇરાદો પાર પડે તે પહેલાં જ ATSએ તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ઉર્દૂ અને અરબી ભાષામાં 29 પાનાનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. ફૈઝાને સાત લોકોની યાદી બનાવી ATSએ ફૈઝાનના ફોનની વિગતોની તપાસ શરૂ કરીસાથે સાથે ચોક્કસ ગ્રુમાં આ યાદી ફોરવર્ડ પણ કરી હતી અને આ લોકોને તેને દુનિયા જોતી રહે તેવી રીતે મારશે તેવી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ATSની ટીમ ફૈઝાનના ફોનની તમામ વિગતોની તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં કોની સાથે સંકળાયેલો હતો તેની વિગતે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:05 am

જૂન-2026થી રાજ્યની તમામ આંગણવાડીઓમાં ‘આધારશિલા’ અભ્યાસક્રમ અમલમાં:3થી 6 વર્ષના બાળકોને મળશે રમત સાથેનું 4 કલાકનું ગુણવત્તાયુક્ત શિક્ષણ

નવી શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ તૈયાર કરાયેલો નવો પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ ‘આધારશિલા’ રાજ્યની તમામ આંગણવાડીઓમાં જૂન 2026-27ના શૈક્ષણિક વર્ષથી અમલી બનાવાશે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં આ અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. દરરોજ 4 કલાકના સમયપત્રક મુજબ રમત-ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણમંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, ‘આધારશિલા’ અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. આ સાથે બાળકોના વિકાસનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરાયેલી પુસ્તિકા ‘મારી વિકાસ યાત્રા’ ને પણ કાઉન્સિલની મંજૂરી મળી છે. નવા અભ્યાસક્રમ અંતર્ગત આંગણવાડીમાં બાળકોને દરરોજ 4 કલાકના સમયપત્રક મુજબ રમત-ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. બાળકો માટે ઉંમર મુજબની ‘પ્રવૃત્તિ પુસ્તિકા’ અને આંગણવાડી કાર્યકરો માટે ‘એક્ટિવિટી બેંક’ તૈયાર કરવામાં આવી છે, જેના આધારે અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવશે. નવા અભ્યાસક્રમ મુજબ બાળકોને તૈયાર કરવા માટે સઘન તાલીમ અપાશેમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સ્ટેટ કાઉન્સિલની મંજૂરી બાદ હવે રાજ્યની આંગણવાડી કાર્યકરોને નવા અભ્યાસક્રમ મુજબ બાળકોને તૈયાર કરવા માટે સઘન તાલીમ આપવામાં આવશે. અભ્યાસક્રમમાં બાળકોના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016ના જૂના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020, રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-2022 અને ‘આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન-2023’ને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. નવા અભ્યાસક્રમમાં ‘પંચ કોષ’ની સંકલ્પના, સમાવેશી શિક્ષણ (Inclusive Education) અને દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશેયુનિસેફ ગુજરાતના સહયોગથી આયોજિત 7 કાર્યશાળાઓ મારફતે આ અભ્યાસક્રમ તૈયાર થયો છે. જેમાં GCERT, સમગ્ર શિક્ષા, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, દક્ષિણામૂર્તિ બલાધ્યાપણ મંદિર ભાવનગર, કચ્છ કલ્યાણ સંઘ અને આગાખાન એજ્યુકેશન સર્વિસ સહિતની સંસ્થાઓના નિષ્ણાતોએ યોગદાન આપ્યું છે. વાલીઓની ભાગીદારી વધારવા માટે દર અઠવાડિયાના અંતે હોમ લર્નિંગ પ્રવૃત્તિઓ તેમજ દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લાખો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયો વધુ મજબૂત બનશે અને ભવિષ્યના શિક્ષણ માટે દૃઢ આધાર તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 10:29 pm

ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદે કૌભાંડનો પર્દાફાશ:ખાડિયા પોલીસે સંચાલક સહિત પાંચ સામે ગુનો નોંધી બેને દબોચ્યા, ઓફિસમાંથી બે મોબાઇલ કબ્જે કરાયા

શહેરના ખાડિયા વિસ્તારમાં બુલિયનના વ્યવસાયની આડમાં ચાલી રહેલા ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદે કૌભાંડનો ખાડિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય સંચાલક સહિત પાંચ શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જેમાંથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ખાડિયા પોલીસે દુકાનમાં રેડ કરી હતીખાડિયાની ગુસા પારેખની પોળમાં આવેલી ‘પાર્શ્વનાથ બુલિયન’ નામની દુકાનમાં શેરબજારના ગેરકાયદે સોદા થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે ખાડિયા પોલીસે દુકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ત્યાં ભુપેશ શાહ કર્મચારી તરીકે હાજર મળી આવ્યો હતો. બાદમાં દુકાનના માલિક પંકજ શાહ, રહે. શિલ્પ શાલીગ્રામ ફ્લેટ, વસ્ત્રાપુરને પણ પોલીસે ઝડપી લીધો હતો. ડબ્બા ટ્રેડિંગ માટે ઉપયોગમાં લેવાતા બે આઇડી મળી આવ્યા પોલીસે બંનેના મોબાઇલ ફોન કબ્જે લઈ તપાસ કરતાં MCXના ગેરકાયદે સોદાઓની વિગતો મળી આવી હતી. વધુ તપાસ દરમિયાન ઓફિસમાંથી બે મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા, જેમાં ડબ્બા ટ્રેડિંગ માટે ઉપયોગમાં લેવાતા બે આઇડી મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને આઇડી અનિલ મહેતા અને શૈલેષ સોની પાસેથી ગેરકાયદે રીતે ખરીદવામાં આવ્યા હતા. કરોડો રુપિયાના ટ્રાન્ઝેક્શન થયાનો પોલીસ તપાસમાં ખુલાસોઆ પૈકી એક આઇડી નારાયણ બુલિયનના દિનેશ પટેલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો હોવાનું પણ બહાર આવ્યું છે. બંને આઇડી મારફતે કરોડો રૂપિયાના ગેરકાયદે આર્થિક વ્યવહારો થયા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આ ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગમાં સંકળાયેલા કેટલાક ગ્રાહકોના નામ પણ પોલીસના હાથ લાગ્યા છે. હાલ ખાડિયા પોલીસે ભુપેશ શાહ અને પંકજ શાહની ધરપકડ કરી છે, જ્યારે દિનેશ પટેલ, શૈલેષ સોની અને અનિલ મહેતાની શોધખોળ તેજ કરી છે. પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 10:25 pm

5 વર્ષ બાદ પુસ્તક મેળાનું પુનરાગમન:ઉત્રાણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવાદમાં જૂના કામમાં પાલિકાને લાખોનું નુકસાન કરાવનાર ઇજારદારને ફરી નવો ઇજારો અપાયો

પાલિકા પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ શહેરમાં પુસ્તક મેળાનું આયોજન કરીને 'વાંચે ગુજરાત'ના અભિયાનને વેગ આપી રહી છે, જે સાહિત્ય પ્રેમીઓ માટે હર્ષની વાત છે પરંતુ, બીજી તરફ શહેરના આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સમાં ઇજારદારોની પસંદગીમાં પારદર્શિતાના અભાવે વિવાદો વકર્યા છે. વહીવટમાં પારદર્શિતાના દાવા વચ્ચે ઉત્રાણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલનમાં થયેલી કથિત ગોલમાલે પાલિકાની છબી પર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે. કોરોનાકાળ અને અન્ય ટેકનિકલ કારણોસર લાંબા સમયથી બંધ રહેલો સુરત મહાનગરપાલિકા સંચાલિત પુસ્તક મેળો આખરે 20 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. પાંચ દિવસીય આ મેળામાં દેશભરના નામી પ્રકાશકો અને લેખકોના પુસ્તકો એક જ છત નીચે ઉપલબ્ધ થશે. પ્રથમવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિશાળ ગ્રાઉન્ડ પર આ મેળાનું આયોજન કર્યુંજોકે, આ વખતે સુરતીઓએ મેળામાં જવા માટે ઉધના-મગદલ્લા રોડ તરફ જવું પડશે. મેટ્રો રેલની કામગીરીને કારણે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની બહાર ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યા હોવાથી, પાલિકાએ ઇતિહાસમાં પ્રથમવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિશાળ ગ્રાઉન્ડ પર આ મેળાનું આયોજન કર્યું છે. યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર વિશાળ સ્પેસ હોવાથી મુલાકાતીઓને પાર્કિંગ અને ભીડની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ઉત્રાણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇજારામાં ગોલમાલના આક્ષેપએક તરફ જ્યારે જ્ઞાનનો પ્રસાર થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ઉત્રાણ ખાતેના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન વિવાદમાં સપડાયું છે. અગાઉ પુણા વિસ્તારમાં પે-એન્ડ-પાર્કનો ઇજારો મેળવી કામ ન કરનાર અને પાલિકાની તિજોરીને લાખોનું નુકસાન કરાવનાર ઇજારદારને જ ફરીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સોંપાતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. આક્ષેપકર્તાઓના મતે આ ઇજારદાર પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલનનો કોઈ અનુભવ નથી તેમછતાં અધિકારીઓની રહેમનજર હેઠળ તેને આ પ્રોજેક્ટ ભેટમાં અપાયો છે. હાલમાં આ મામલે વિરોધ પક્ષો અને પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા વિજિલન્સ તપાસની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. કતારગામની સુમન સ્કૂલના જમીન વિવાદમાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુંસુરતના કતારગામ વિસ્તારમાં મંજૂર થયેલી સુમન સ્કૂલને નિયમોને નેવે મૂકીને ડભોલીમાં ખસેડવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી કમિટીમાં ભારે ડ્રામા જોવા મળ્યો હતો. મૂળભૂત રીતે વોર્ડ નં. 7 માં મંજૂર થયેલી આ શાળાનું બાંધકામ કોઈપણ મંજૂરી વગર વોર્ડ નં. 8 ની 'સેલ ફોર કોમર્શિયલ' જમીન પર શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ જમીનને શૈક્ષણિક હેતુમાં ફેરવવા માટે મળેલી ટીપી કમિટીની બેઠકમાં ચેરમેન નાગર પટેલે મંગળવારે પહેલા દરખાસ્ત મંજૂર કરી અને ગણતરીના કલાકોમાં જ આંતરિક વિરોધને પગલે તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો, જેનાથી પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે, આ વિવાદ ગાંધીનગર સુધી પહોંચતા અને ઉધના 'કમલમ' (ભાજપ કાર્યાલય) થી કડક સૂચના મળતા આખરે ટીપી કમિટીએ નમતું જોખવું પડ્યું હતું. બુધવારે બપોરે પક્ષના ઉચ્ચ સ્તરીય દબાણ બાદ, ચેરમેન સાથે સંકલન સાધ્યા વગર જ પક્ષના હોદ્દેદારોએ સીધો સેક્રેટરી વિભાગ સાથે સંપર્ક કરીને દરખાસ્ત મંજૂર કરાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમે શાસક પક્ષમાં આંતરિક સંકલનનો અભાવ અને સમિતિના ચેરમેનો પર પક્ષના વર્ચસ્વને ફરી એકવાર સપાટી પર લાવી દીધું છે, પરિણામે વિવાદિત ડભોલીની જમીન હવે સત્તાવાર રીતે શૈક્ષણિક હેતુ માટે ફાળવી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 10:18 pm

ફેક ઇન્સ્ટાગ્રામ આઇડીથી કોમી વૈમનસ્ય ફેલાવનાર ઝડપાયો:ગીર સોમનાથ પોલીસે ગામમાં સરઘસ કાઢી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી

ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક લાગણી દુભાવવા અને હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી વાંધાજનક પોસ્ટ વાયરલ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કોડીનાર પોલીસે તેનું સરઘસ કાઢ્યું હતું અને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી હતી. ફેક આઇડી બનાવી પોસ્ટ વાઈરલ કરી હતીજિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે. વણારકાની રાહબરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર 'firoj68971' (Firoj kharai) નામના આઇડી પરથી બે કોમ વચ્ચે તણાવ ઉભો થાય તેવી પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતા જોઈ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની ઓળખ થઈપોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ, આઇટી એક્સપર્ટ વિશાલભાઈ વાળા અને દર્શિતભાઈની મદદથી CDR, SDR અને IPD ડેટાની તપાસ કરવામાં આવી હતી. જેમાં બહાર આવ્યું હતું કે મૂળ દ્વારકાના રહેવાસી અજગર અનવર ખરાઈએ અન્ય વ્યક્તિના ખોવાયેલા સિમકાર્ડનો ઉપયોગ કરી ફેક આઇડી બનાવ્યું હતું અને તેમાંથી ઉશ્કેરણીજનક સામગ્રી વાયરલ કરી હતી. પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંઆરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 196(1)(A), 196(1)(B), 299, 353(1)(B), 353(1)(C), 353(2) તથા આઇટી એક્ટની કલમ 66(C) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધરપકડ બાદ પોલીસે મૂળ દ્વારકામાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન આરોપીએ કરેલી ભૂલ બદલ ઉઠક-બેઠક કરી જાહેરમાં માફી માંગી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર અફવા કે કોમી ઉશ્કેરણી ફેલાવનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 10:11 pm

‘વાતચીત કરો અથવા ભયાનક હુમલા માટે તૈયાર રહો’ ટ્રમ્પનું ખામેનેઈને અલ્ટીમેટમ, ઈરાને પણ આપ્યો વળતો જવાબ

US-Iran War Tension : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા તેને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન કાં તો શાંતિથી વાતચીતની ટેબલ પર આવી જાય અથવા તો 'ઓપરેશન મિડનાઈટ હેમર' કરતા પણ વધુ વિનાશક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. બીજી તરફ, ઈરાને પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે, ‘અમે કોઈની ધાક-ધમકીમાં આવીશું નહીં અને જરૂર પડશે તો એવો જવાબ આપીશું, જે વિશ્વએ પહેલા ક્યારેય જોયો નથી.’ અમારો નૌકાદળ કાફલો આગળ વધી રહ્યો છે : ટ્રમ્પની ધમકી ટ્રમ્પે (US President Donald Trump) જાહેરમાં ધમકી આપી છે કે, ‘ઈરાન તરફ એક વિશાળ નૌકાદળ કાફલો અત્યંત તાકાત, ઉત્સાહ અને સ્પષ્ટ હેતુ સાથે આગળ વધી રહ્યો છે.

ગુજરાત સમાચાર 28 Jan 2026 10:05 pm

વિદેશી મહિલા નાગરિકને 20 વર્ષની સખત કેદ:અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી યુગાન્ડાની મહિલા પેટમાં 79 કેપ્સૂલમાં 869 ગ્રામ હેરોઇન લાવી હતી

અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતે હેરોઇનની હેરાફેરી બદલ વિદેશી નાગરિક મુકાકીબીબી હનાને 11 સાહેદો અને 50 પુરાવા તપાસીને 20 વર્ષની સખત કેદ તેમજ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, માદક પદાર્થોની આંતરરાષ્ટ્રીય હેરાફેરીમાં સાથે મહિલા સંકળાયેલી છે. યુવાધન ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યું છે. મહિલાએ પોતાના જીવને પણ જોખમમાં મૂક્યો હતો. આ હુકમને અમદાવાદ જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવે. DRIએ સીટી સ્કેન કરતા પેટમાં ફોરેન બોડી દેખાઈ હતીઆ કેસ વર્ષ 2022માં કોર્ટમાં દાખલ થયો હતો. જેમાં યુગાન્ડાની મહિલા પોતાના પેટમાં હેરોઇન ભરેલી કેપ્સ્યુલ્સ લઈને આવતા ઝડપાઈ ગઈ હતી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ વિદેશી નાગરિકને શારજાહથી આવેલી ફ્લાઈટમાંથી ઝડપી પડાઈ હતી. DRI દ્વારા તેને રોકીને ચેક કરવામાં આવતા તેના બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી પરંતુ, તેનું પેટ ટાઈટ જણાતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં તેનો એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવતા પેટમાં ફોરેન બોડી દેખાઈ હતી. ડોક્ટરોએ તેના પેટમાંથી 79 જેટલી કેપ્સ્યુલ્સ કાઢી હતી. જેમાંથી 869 ગ્રામ જેટલું હેરોઇન મળી આવ્યું હતું. મહિલાએ એરપોર્ટ ઉપરના અધિકારીઓને જણાવ્યું હતું કે, તે બિઝનેસ હેતુથી ભારત આવી છે. તે યુગાન્ડાની એમ્પાયર ફાર્મા લિમિટેડ કંપનીમાં કોમર્શિયલ મેનેજર તરીકે કામ કરે છે. જે હોસ્પિટલ ઇક્વિપમેન્ટ અને મેડિકલ ડિવાઇસના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. ભારતના આર.કે.મેડફાર્મના આમંત્રણ ઉપર તે અહીં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 9:47 pm

LG હોસ્પિટલમાં નવમા માળે ICU બનાવતા વિપક્ષ નેતાનો સવાલ:શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ હાઇકોર્ટના આદેશને AMC ભૂલી, રિવાઇસ ટેન્ડર કરી નવમા માળે ICU બનાવા વધારાનો ખર્ચ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલને રૂ. 185 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જોકે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સામાન્ય સભામાં હોસ્પિટલમાં નવમા માળે બનાવવામાં આવી રહેલા ICU વોર્ડને લઈને સવાલો ઊભા કર્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રિવાઇસ ટેન્ડર કરી નવમા માળે આઈસીયુ બનાવવા માટે વધારાનો ખર્ચ કર્યો છે. આ બાબતે કેમ ભાજપના સત્તાધિશો અને અધિકારીઓએ ધ્યાનમાં આપ્યું તેમ તેમણે જણાવ્યું હતું. AMC દ્વારા 185 કરોડના ખર્ચે એલજી હોસ્પિટલ ઉભી કરાશેનવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, આઇસીયુ વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવો જોઈએ તેવો આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 185 કરોડના ખર્ચે એલજી હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. વિપક્ષના નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇકોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 185 કરોડના ખર્ચે નવી એલજી હોસ્પિટલની બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં નવમા માળે આઈસીયુ વોર્ડ અને બર્ન વોર્ડ બાંધકામ કરાયું છે. આરઆઈસી વોર્ડ નવમા માળે ખસેડવામાં આવ્યોજોકે, પહેલા જ્યારે નવી હોસ્પિટલ બનાવવાની હતી, ત્યારે એલજી હોસ્પિટલના બાંધકામના લેઆઉટ પ્લાનમાં ત્રીજા માળે આઈસીયુ અને બર્ન વોર્ડ, આરઆઈસીયુ આઈવીએફ ઓપરેશન થિયેટર અન્ય ઓપરેશન થિયેટરનું પ્લાનિંગ કરાયું હતું. પરંતુ પછી બાંધકામમાં પ્લાનમાં ફેરફાર કરીને બર્ન વોર્ડ અને આરઆઈસી વોર્ડ નવમા માળે ખસેડવામાં આવ્યો છે. જેનો ખર્ચ પણ ચાર કરોડ વધી ગયો છે. જેથી આ પ્લાનમાં ફેરફાર કરી આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવા માટે વિપક્ષના નેતાએ માંગણી કરી હતી. ગાઇડલાઇન પ્રમાણે હોસ્પિટલનું બાંધકામ કરાયું: દેવાંગ દાણીવિપક્ષના નેતાના આક્ષેપ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવી બનેલી એલજી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેથી અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને તરત જ સારવાર મળી રહે તેને ધ્યાનમાં રાખીને નવી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કરવામાં આવ્યું છે. ગાઇડલાઇન પ્રમાણે જ હોસ્પિટલમાં બાંધકામ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 9:40 pm

1 લાખની કિંમતની 20 નંગ ઈ-સિગારેટ જપ્ત:મોબાઈલ પાર્ટ્સના વેચાણની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ વેચતો વેપારી ઝડપાયો

સુરત શહેરમાં પ્રતિબંધિત નશાકારક પદાર્થો અને ઈ-સિગારેટ વિરુદ્ધ લાલ આંખ કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. લાલગેટ વિસ્તારમાં મોબાઈલ પાર્ટસના ધંધાની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતા એક વેપારીને પોલીસે રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવીપ્રાપ્ત વિગતો અનુસાર, એસઓજી પોલીસના ASI જલુભાઈને એક ચોક્કસ બાતમી મળી હતી કે, રાણીતળાવ મેઈન રોડ પાસે એક શખસ પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે હેરફેર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લાલગેટ રાણીતળાવ પાસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. 1 લાખની કિંમતની 20 નંગ ઈ-સિગારેટ જપ્તવોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા જેસારામ કાલારામ ચૌધરી (રહે. વર્ધમાન એપાર્ટમેન્ટ, ગોપીપુરા) ને પોલીસે અટકાવી તેની તપાસ કરી હતી. તલાશી લેતા તેની પાસેથી પ્રતિબંધિત ઈ-સિગારેટના 20 નંગ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 1 લાખ જેટલી થાય છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ પાર્ટસના ધંધાની આડમાં કાળો કારોબારપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી જેસારામ રાણીતળાવ વિસ્તારમાં મોબાઈલ ફોનના સ્પેરપાર્ટસ વેચવાનો વ્યવસાય કરે છે. જોકે, આ કાયદેસરના ધંધાની આડમાં તે છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈથી પ્રતિબંધિત ઈ-સિગારેટ મંગાવી સુરતના શોખીન ગ્રાહકોને ઊંચા ભાવે વેચતો હતો.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 9:29 pm

2006 બેચના IAS નાગરાજન એમ.એ શાલિની અગ્રવાલની જગ્યાએ ચાર્જ સંભાળ્યો:સ્માર્ટ સિટી મિશનના જૂના હીરો પાછા આવ્યા, સ્વચ્છતા, ટ્રાફિક અને ડિજિટલ ગવર્નન્સ પર ખાસ ભાર

ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરત મહાનગરના વહીવટી વડા તરીકે 2006 બેચના તેજસ્વી IAS અધિકારી નાગરાજન એમ. એ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા તાજેતરના વહીવટી ફેરબદલમાં સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલની બદલી GUVNL વડોદરાના MD તરીકે કરવામાં આવી છે, જ્યારે GSRTC ના MD તરીકે ફરજ બજાવતા નાગરાજન એમ. ને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. સુરત સાથેનો જૂનો નાતો અને સ્માર્ટ સિટી મિશનનાગરાજન એમ. માટે સુરત નવું નથી. અગાઉ તેઓ સુરતમાં ડેપ્યુટી કમિશનર તરીકે સફળ સેવાઓ આપી ચુક્યા છે. ખાસ કરીને સુરત સ્માર્ટ સિટી મિશનના પાયાના વર્ષોમાં તેમણે CEO તરીકે જે કામગીરી કરી હતી, તેના કારણે સુરતને દેશભરમાં પ્રથમ ક્રમે પહોંચવામાં મોટી મદદ મળી હતી. આઈટી (IT) વિભાગ અને ડિજિટલ ગવર્નન્સમાં તેમની નિપુણતાને કારણે સુરત મનપાના વહીવટમાં પારદર્શિતા આવી હતી. તેમના આ બહોળા અનુભવનો લાભ હવે શહેરને કમિશનર તરીકે મળશે. નવા કમિશનરે પદભાર સંભાળ્યાની મિનિટોમાં જ મનપાના તમામ ઝોનલ ચીફ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, શહેરના પડતર પ્રશ્નો અને વિકાસના કાર્યોમાં જરા પણ વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં. શહેરની સુખાકારી પર ભારનાગરાજન એમ. એ તેમની કાર્યપદ્ધતિ અને લક્ષ્યાંકો અંગે જણાવ્યું હતું કે, ડ્રેનેજ, શુદ્ધ પીવાનું પાણી અને મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.મેટ્રો કામગીરી અને વધતા વાહનોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન સાધી ટેક્નિકલ સોલ્યુશન્સ લાવવામાં આવશે.મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને આરોગ્ય કેન્દ્રોને વધુ આધુનિક બનાવવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.સુરત જે રીતે સ્વચ્છતામાં દેશમાં અગ્રેસર રહ્યું છે, તે સ્થાન જાળવી રાખવા માટે 'ઝીરો વેસ્ટ' મોડલ પર કામ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 9:13 pm

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ઐતિહાસિક સિદ્ધિ:એરપોર્ટ માટે 2025નું વર્ષ રહ્યું ઐતિહાસિક, 18 લાખથી વધુ મુસાફરો સાથે નોંધાવ્યો રેકોર્ડ બ્રેક ગ્રોથ

હીરાનગરી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત હવે ઉડ્ડયન ક્ષેત્રે પણ નવા શિખરો સર કરી રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (STV) માટે વર્ષ 2025 એક 'લેન્ડમાર્ક' વર્ષ સાબિત થયું છે. એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ કેલેન્ડર વર્ષમાં મુસાફરોની સંખ્યાએ 18 લાખનો આંકડો પાર કરીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. મુસાફરોની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ, વર્ષ 2025માં કુલ 18,10,513 મુસાફરોએ સુરત એરપોર્ટ પરથી અવરજવર કરી હતી. નવેમ્બર 2025માં શરૂ થયેલો રેકોર્ડબ્રેક સિલસિલો ડિસેમ્બરના અંત સુધી જારી રહ્યો હતો, જેના કારણે 2024ના કુલ ટ્રાફિકનો રેકોર્ડ વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ તૂટી ગયો હતો. માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં પણ સુરતે કાઠું કાઢ્યું છે. વર્ષ 2025માં કુલ 2,06,404 આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા હતા. માત્ર ડિસેમ્બર 2025માં જ 21,465 આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી, જે સુરત એરપોર્ટ માટે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. મર્યાદિત કનેક્ટિવિટી છતાં મોટી સફળતા આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે સુરત એરપોર્ટ પાસે હજુ પણ અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ મર્યાદિત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. તેમ છતાં, વતનની મુલાકાતે આવતા લોકોની સંખ્યા, સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓની અવરજવર, સુરતમાં વસતા અન્ય રાજ્યોના લોકો દ્વારા થતો હવાઈ મુસાફરીના ઉપયોગથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. ભવિષ્યની ઉજળી તકો આ આંકડા સાબિત કરે છે કે સુરતમાં હવાઈ મુસાફરીની પ્રબળ માંગ છે. એરપોર્ટના નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી સમયમાં કનેક્ટિવિટી વધારવામાં આવે અને વધુ એરલાઇન્સ સુરતથી કાર્યરત થાય, તો આ આંકડો આગામી વર્ષોમાં 25 લાખને પણ પાર કરી શકે છે. ધ રનવે અહેડ ઈઝ લોન્ગ ના સૂત્ર સાથે સુરત એરપોર્ટ હવે ઉડ્ડયન નકશા પર મજબૂત રીતે ઉભરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 9:02 pm

સુરેન્દ્રનગરમાં બહુચર હોટલ પાસે CNG રિક્ષાનું ટાયર નીકળ્યું:ટ્રાફિક પોલીસે તુરંત મદદ કરી, મોટી દુર્ઘટના ટળી

સુરેન્દ્રનગર શહેરના બહુચર ચોક વિસ્તારમાં એક CNG રિક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી ગયું હતું. આ ઘટના બનતા જ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસે તુરંત મદદ માટે દોડી જઈ રિક્ષાને સલામત રીતે રસ્તાની એક તરફ ખસેડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રિક્ષાનું ટાયર નીકળી જતાં ટ્રાફિક જામ થવાની શક્યતા હતી. ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ માનવતા દાખવીને પરિસ્થિતિને સંભાળી હતી. તેમણે ગભરાયેલા રિક્ષાચાલકને સાંત્વના આપી હતી અને ટ્રાફિકને સરળ બનાવવામાં મદદ કરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરી જોઈને ત્યાં હાજર લોકોમાં પોલીસ પ્રત્યેની ભાવના અને વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટ્રાફિકને સરળ બનાવવામાં તાલીમબદ્ધ પોલીસકર્મીઓની સક્રિયતા જોવા મળી હતી.આ પ્રકારની કામગીરી પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધારે છે. 'પોલીસ પ્રજાનો મિત્ર છે' તે સૂત્ર આ ઘટના દ્વારા ફરી એકવાર સાર્થક થયું હતું.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 8:46 pm

કુંતલપુર વાડી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સમાં બાળ જન્મ:મધરાતે સગર્ભાને પીડા થતા ટીમે સફળ ડિલિવરી કરાવી

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના કુંતલપુર ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં 108 ઇમરજન્સી સેવાએ ફરી એકવાર પોતાની કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મધરાતે એક 19 વર્ષીય સગર્ભા માતાને પ્રસૂતિ પીડા ઉપડતા, 108 ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. કુંતલપુર વાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય સપનાબેન નાયકાને મધરાતે પ્રસૂતિ પીડા શરૂ થઈ હતી. તેમની સ્થિતિ નાજુક હોવાથી હોસ્પિટલ પહોંચવું જોખમી હતું. 108ની ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો. સમયસર હોસ્પિટલ પહોંચવું શક્ય ન જણાતા, 108 ટીમે એમ્બ્યુલન્સને જ 'મોબાઈલ લેબર રૂમ'માં રૂપાંતરિત કરી. ઈ.એમ.ટી. છોટાભાઈ અને પાયલોટ હરપાલસિંહે ઉપલબ્ધ સુવિધાઓ અને તેમની તાલીમનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી. સફળ ડિલિવરી બાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 108ની ટીમે મધરાતે અંતરિયાળ વિસ્તારમાં પહોંચીને માતા અને બાળકના જીવ બચાવ્યા. સપનાબેનના પરિવારે 108 ટીમ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 8:37 pm

RCC વેસ્ટ હટાવવાની આડમાં માટી ચોરીનું કૌભાંડ:બે શખસોએ પાલ વિસ્તારમાં સરકારી જમીનમાંથી 626 ટન માટી કાઢી વેચી મારી, 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલ ગામમાં કાસા રીવેરા રેસીડેન્સીની પાછળ આવેલી સુરત મહાનગરપાલિકાની માલિકીના પ્લોટમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી માટીની ચોરી કરવામાં આવી રહી હતી. આ મામલે અડાજણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. પાલિકાની મિલકત પર આ રીતે ખુલ્લેઆમ ચોરી થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. 1.60 કરોડનો મુ્દામાલ કબજે કરવામાં આવ્યોઆ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિધ્ધરાજસિંહ ભાભોરને 26-1-2026ના રોજ ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ રાણા દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળી હતી કે પાલ ગામની પાલિકાની જમીન પર કેટલાક શખ્સો જેસીબી મશીનો વડે ખોદકામ કરી રહ્યા છે. બીજા દિવસે જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચી, ત્યારે ત્યાં મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ પર 2 જેસીબી દ્વારા માટી કાઢવામાં આવી રહી હતી અને હાઇવા ટ્રકોમાં ભરીને તેને બહાર મોકલવામાં આવી રહી હતી. અડાજણ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી 2 જેસીબી, માટી ભરેલી 2 ટ્રકો અને અન્ય 3 ખાલી ટ્રકો મળી કુલ 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કચરો હટાવવાના બહાને માટીની ચોરીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ખેલ ખૂબ જ ચતુરાઈથી રચવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દીપ સુભાષ ડોબરિયાએ પાલિકાના પ્લોટ પર આરસીસી વેસ્ટ (બાંધકામનો કચરો) નાખ્યો હતો. આ કચરો હટાવવા માટે 'જય શ્રી ચામુંડા કાર્ટિંગ'ના માલિકો દીપક જગદીશ વણજારા અને કમલેશ ભુવાજી વણજારાને કામ સોંપવામાં આવ્યું હતું. આ બંને શખ્સોએ કચરો ઉઠાવવાની આડમાં જમીનનું ઊંડું ખોદકામ શરૂ કરી દીધું હતું. તેઓએ અંદાજે 1.25 લાખની કિંમતની 626 ટન માટીની ચોરી કરી હતી. કચરો સાફ કરવાના નામે તેઓએ પાલિકાની સંપત્તિની લૂંટ ચલાવી હતી. ચોરીની માટી ઓલપાડના માસમામાં વેચીપોલીસના જણાવ્યા પ્રમાણે, પકડાયેલા આરોપીઓ દીપક વણજારા અને કમલેશ વણજારા જ્યારે આરસીસી વેસ્ટ ઉઠાવવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને માટીનો ઓર્ડર મળ્યો હતો. નફાની લાલચમાં આવીને તેઓએ પાલિકાની જમીન પર ગેરકાયદેસર ખોદકામ શરૂ કર્યું. ચોરી કરેલી આ માટી તેઓ ઓલપાડના માસમા વિસ્તારમાં ચાલી રહેલી બાંધકામ સાઇટ પર વેચતા હતા. એક ટ્રક દીઠ તેઓ 3 થી 5 હજાર રૂપિયા વસૂલતા હતા. આ રીતે ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવા માટે તેઓએ સરકારી મિલકતને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરીઅડાજણ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પાલિકાના એન્જિનિયરની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ પાલિકાના પ્લોટની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 8:35 pm

સુરતમાં લૂંટ વિથ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:રિક્ષા ચાલકને ગ્રાહકનાં સ્વાંગમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને લૂંટી હેવાનિયતનો વીડિયો બનાવાયો, સગીર અને બે સગા ભાઈની ધરપકડ

સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ભયાનક ઘટનામાં રિક્ષા ચાલકને ગ્રાહકના સ્વાંગમાં ત્રણ યુવકોએ એકાંત જગ્યાએ લઈ જઈને લૂંટી લીધો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ ક્રૂર કૃત્યમાં મોટા વરાછાથી અમરોલી વિસ્તારમાં ફર્યા બાદ રાત્રે મહાદેવ ફાર્મ પાસેના એકાંત સ્થળે રિક્ષા ચાલક કૃષ્ણપાલ બધેલ પર હુમલો કરી તેના કપડાં ઉતારાવી અત્યાચાર કરવામાં આવ્યો તેમજ ગાળો બોલાવડાવી રૂ. 21 હજારની મત્તા લૂંટી લેવાઈ હતી. ઉત્રાણ પોલીસે આ ગંભીર ઘટનાને ઝડપથી હાથ ધરી 36 કલાકની અવિરત CCTV તપાસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રિપુટીને ઝડપી લીધી, જેમાં બે સગા ભાઈઓ વિજય ઉર્ફે વિરાજ અને અર્જુન ભોજવીયા સાથે 15 વર્ષીય સગીર કિશોર સામેલ છે. આરોપીઓ સામે અગાઉ પણ અપહરણ સહિત અનેક ગુના નોંધાયેલા છે અને તપાસ હાલ ચાલુ છે. ગ્રાહકના સ્વાંગમાં ત્રણ યુવકો રિક્ષામાં બેઠા હતાઉત્રાણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સરથાણા સીમાડા ગામ પાસે દિવાળી નગર સોસાયટીમાં રહેતો યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 21 જાન્યુઆરીના રોજ સાંજે ગ્રાહકનાં સ્વાંગમાં આશરે 20થી 25 વર્ષીય ત્રણ યુવકો અમરોલી વિસ્તારમાં કામ હોવાનું કહી બેઠા હતાં. મોટા વરાછાથી વિવિધ વિસ્તારમાં રિક્ષામાં ફર્યા બાદ રાત્રે 8.15 વાગ્યાનાં અરસામાં મોટાવરાછા રિંગરોડ સ્થિત મહાદેવ ફાર્મની બાજુમાં એકાંત સ્થળે ઉતરી ગયા હતાં. છરો મારી કપડા ઉતારાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું રિક્ષા ચાલકે ભાડુ માંગતાં માથાનાં ભાગે છરો મારી કપડા ઉતારાવી એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચરી વીડિયો ઉતારી લીધો હતો. ઉપરાંત, વીડિયોમાં ભરવાડ તથા મુસ્લિમ સમાજને ઉદ્દેશી ગાળો બોલાવડાવી તેનો 20 હજારનો મોબાઈલ અને ભાડાની 1 હજારની રોકડ મળી કૂલ 21 હજારની મત્તા લુંટી લીધી હતી. ત્યારબાદ રિક્ષાચાલકનાં હાથ બાંધી દઈ રિક્ષામાં બેસાડી એક સાગરીતે રિક્ષા ચલાવી સીમાડાનાકા ખાતે ઉતારી ત્રણેય મળતીયા ભાગી ગયા હતાં. આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતીઆ બનાવ મામલે રિક્ષા ચાલક કૃષ્ણપાલ બધેલ દ્વારા માથામાં વાગ્યું હોવાથી સારવાર બાદ તા. 22 જાન્યુઆરીના રોજ ઉત્રાણ પોલીસ મથકમાં અજાણી ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભે ત્રિપુટી પૈકીનાં વિજય ઉર્ફે વિરાજ મેઘજીભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (ઉ.વ. 29) અને તેનાં ભાઈ અર્જુન દેવીપુજક (ઉ.વ. 19, બંને રહે. કાપોદ્રા બ્રિજ નીચે, તાપી નદી કિનારે, ભરવાડ વાસ, કાપોદ્રા, સુરત. મુળ વતન. ગામ-ધારપીપળા, તા, રાણપુર, જી. બોટાદ)ની ધરપકડ કરવા ઉપરાંત તેમનાં 15 વર્ષીય બાળ કિશોર સાગરીતને પણ ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉત્રાણ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવવામાં આવીઆ અંગે DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્રાણ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી. આ સાથે ઝોન-5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા શખસો કે જેણે આ કૃત્ય કર્યું છે. તેની ઓળખ કરવા તેમજ તેને અરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા ત્રણ આરોપીની ઓળખ કરવામાં આવી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્રણ શખસો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આ ઉપરાંત બે શખસો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા, બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે, આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયા છે. તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 8:31 pm

રાજકોટ એસટીના નવા વિભાગીય નિયામક મનીષ રાજ:2 માસ પૂર્વે જ નિમણૂક થયેલા જોશીની SoUમાં ડેવલપમેન્ટ માટે રાજપીપળા બદલી

રાજકોટ એસટીના વિભાગીય નિયામકની બે માસના ટૂંકા ગાળામાં જ બદલી કરવામાં આવી છે. અહીંના વિભાગીય નિયામક હિમાંશુ જોશીની રાજપીપળા એસટી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં GSRTC અંતર્ગતની એસટી બસની સેવાને ડેવલપ કરવા માટે તેમની ત્યાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે રાજકોટ એસટીના નવા વિભાગીય નિયામક તરીકે મનીષ રાજને મૂકવામાં આવ્યા છે જેઓ 30 જાન્યુઆરીના શુક્રવારે ચાર્જ સંભાળશે. 2 માસ અને 4 દિવસના ટૂંકા ગાળામાં બદલીમળતી વિગતો મુજબ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી બસનું સંચાલન જ્યાંથી થાય છે તેવા રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જોશીની નવેમ્બર 2025 ના નિમણૂક થઈ હતી. જે અગાઉ જે. બી. કલોતરા 4 વર્ષથી વધુ સમય ફરજ બજાવી ચૂક્યા હતા. 2 માસ અને 4 દિવસના ટૂંકા ગાળામાં બદલી કરી નાખવામાં આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. રાજકોટ એસટીના નવા વિભાગીય નિયામક મનીષ રાજજોકે ટ્રાફિક વિભાગમાંથી આવતા જોશીની બદલી પાછળનું કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં GSRTC હેઠળ ચાલતી બસ સેવાને ડેવલપ કરવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે રાજપીપળાના એસટી વિભાગીય નિયામક મનીષ રાજ કે જેઓ મિકેનિકલ વિભાગના છે તેમને રાજકોટ મુકાયા છે. દરેક મેટ્રો સિટીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની લકઝરીયસ બસ શરૂ થાય તેમજ પોલિટિકલ લોકો અને મહાનુભાવોની અવરજવરવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક કક્ષાએ એસટી બસ સેવાને ડેવલપ કરવા માટે બદલી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 8:21 pm

ખોદકામ દરમિયાન પાણીની મેઈન લાઈન તૂટી:જોરાવરનગરમાં જળબંબાકાર, સ્થાનિકોને હાલાકી

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ખોદકામ દરમિયાન પાણીની મેઈન લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાની ઋતુમાં મુખ્ય વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી હતી. આ ઘટનાને કારણે તંત્રની કામગીરી સામે જોરાવરનગરના નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. તાજેતરમાં સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. જોકે, સ્થાનિકોનો આરોપ છે કે સુવિધાઓમાં વધારો થવાને બદલે નગરજનોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ હાલમાં તંત્ર દ્વારા ઠેર ઠેર ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી લોકો પરેશાન છે. બીજી તરફ, જોરાવરનગરમાં લાઈન તૂટવાની જાણ થતાં જ વિસ્તારના રહીશો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા તાકીદે રિપેરિંગ કામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 8:18 pm

રાજકોટ જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર:પ્રદેશ નેતાઓની ભલામણથી અલ્પેશ ઢોલરિયાને યથાવત રખાયાની ચર્ચા, જુઓ નવરચિત સંગઠનનું સંપૂર્ણ લિસ્ટ

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા આજે નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ તરીકે લોધિકાના કાજલબેન ગોંડલીયા, ગોંડલના રીનાબેન ભોજાણી, ધોરાજીના રેખાબેન ડાભી, ગોંડલના પ્રફુલભાઇ ટોળીયા, જામકંડોરણાના સુરેન્દ્રસિંહ વાળા, ઉપલેટાના જયેશભાઇ ત્રિવેદી, લોધિકાના મનોજભાઈ રાઠોડ, અને ધોરાજીના રાજુભાઈ બાલધાની નિમણુંક કરવામાં આવી છે જયારે મહામંત્રી તરીકે રાજકોટ તાલુકાના નરેન્દ્રસિંહ જાડેજા, જસદણ તાલુકાના હરેશભાઇ હેરભા અને ઉપલેટાના રવિભાઈ માંકડિયાની નીમજુક કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી તરીકે ભારતીબેન સાંકળિયા, સતિષભાઈ ભીમજીયાણી, મુકેશભાઈ મેર, પ્રવીણભાઈ હેરમાં, સુધાબેન ગોહેલ, મનીષાબેન સંચાણીયા, અનિતાબેન ચૌહાણ અને શૈલેષ અજાણીની નિમણુંક કરવામાં આવી છે. પ્રદેશ નેતાની ભલામણથી પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાને યથાવત રખાયાની ચર્ચાઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓને બદલી દેવામાં આવશે તેવી ચર્ચા છેલ્લા બે દિવસથી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહી હતી. પરંતુ આ ચર્ચા બાદ ઢોલરીયાએ પ્રદેશ સંગઠનના હોદેદાર સમક્ષ રજુઆત કરી લોબિંગ કરાવતા આખરે પ્રદેશ મવડી મંડળ દ્વારા આ ભલામણ માન્ય રાખી અલ્પેશ ઢોલરિયાને યથાવત રાખવા નિર્ણય કર્યો છે અને છેલ્લી ઘડીએ તેમને યથાવત રાખી બાકીના સંગઠન માળખાની આજે જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે રાજકોટ શહેરના પ્રમુખ સહીત સંગઠનમાં બદલાવ માટેની ચર્ચા વચ્ચે શહેરનું નવું માળખું ક્યારે જાહેર થશે અને તેમાં કોનો સમાવેશ થશે તેના પર સૌકોઇની મીટ મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 8:04 pm

આડોડીયાવાસમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો:ઘોઘારોડ પોલીસે રેડ પાડી 40 હજારનો મુદામાલ જપ્ત કર્યો, આરોપી મહિલા ફરાર

ભાવનગર ઘોઘારોડ પોલીસે આડોડીયાવાસમાં રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂના ચપટા અને બોટલો મળી કુલ રૂ.40,590 નો મુદામાલ જપ્ત કર્યો છે. રેડ સમયે આરોપી મહિલા હાજર ન મળતાં મહિલા વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે મહિલાના ઘરે રેડ પાડીઆ અંગે ઘોઘારોડ પોલિસ મથકેથી મળતી માહિતી મુજબ ઘોધારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી કે આડોડીયાવાસમાં રહેતી મહિલાએ પોતાના રહેણાંક મકાને ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થ ઉતાર્યો છે. બાતમીની જગ્યા તપાસ કરતા મહિલા હાજર મળી આવી નહી અને તેના રહેણાંક મકાનની સામે છાપરામાં તપાસ કરતા એક પ્લાસ્ટીકની મોટી થેલી તથા એક કાપડનો થેલો મળી આવ્યો હતો. જેમાં ઈંગ્લીશ દારૂના ચપટા તથા ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. ઇંગ્લિશ દારૂનો 40 હજારનો મુદામાલ જપ્ત કર્યોઆ મામલે ઘોઘારોડ પોલીસે ઇંગ્લિશ દારૂના અલગ-અંલગ કંપનીના ચપટા 115 નંગ કિંમત 34,090 તથા ઈગ્લીશ દારૂની બોટલ 5 નંગ જેની કિંમત 6500 મળી કુલ 40,590 નો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી મહિલાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 8:02 pm

મોરબીમાં બે અલગ-અલગ ઘટનામાં બેના મોત:વીજપોલ પર શોર્ટ લાગતા યુવાન, તળાવમાં ડૂબી બાળકનું મૃત્યુ

મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે અલગ-અલગ બનાવો નોંધાયા છે. આમરણ ગામ પાસે વીજપોલ પર કામ કરતી વખતે શોર્ટ લાગવાથી એક યુવાનનું મોત થયું હતું, જ્યારે નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જવાથી એક માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું. બંને ઘટનાઓની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ આમરણ ગામ પાસે બન્યો હતો. મૂળ ઝારખંડનો વતની અને હાલ આમરણમાં રહેતો સુખદેવ ચુનિયાભાઈ લોહરા (ઉં.વ. ૧૯) નામનો યુવાન વીજપોલ પર કામ કરી રહ્યો હતો. કામ દરમિયાન તેને અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજો બનાવ નાગડાવાસ ગામે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનો વતની અને હાલ નાગડાવાસમાં વાડીમાં મજૂરી કરતો અનુભાઈ પરમારનો ચાર વર્ષનો દીકરો પિયુષ પરમાર રમતા રમતા વાડીની બાજુમાં આવેલા તળાવના પાણીમાં ડૂબી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી બાળક પિયુષનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પણ મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:55 pm

Editor's View: શરદ પવારના શબ્દ સાચા પડ્યા:અજિત પવારની વિદાય મહારાષ્ટ્રના રાજકારણની ધરી બદલી નાખશે; મમતા બેનર્જીએ ઘટનાને શંકાસ્પદ ગણાવી દીધી

મહારાષ્ટ્ર ચે દાદા ગેલે... મહારાષ્ટ્રના અજિત દાદાની વિદાય... આ સમાચાર માત્ર મહારાષ્ટ્ર માટે જ નહિ, દેશ માટે આઘાતજનક છે. પોતાના જ વિધાનસભા વિસ્તાર બારામતીના એરપોર્ટ પાસે રન-વે પર પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેની સાથે રહેલા સ્ટાફ મળીને 5નાં આ દુર્ઘટનામાં મોત થયાં છે. આ એક ઘટનાથી ભલભલાના મગજ સુન્ન થઈ ગયાં છે. એક વાત તો નક્કી છે કે મહારાષ્ટ્રના કદાવર નેતા અજિત દાદા પવારના નિધનથી આવનારા સમયમાં મહારાષ્ટ્રના રાજકારણની ધરી 360 ડિગ્રી બદલાઈ જવાની છે. મમતા બેનર્જીએ આ ઘટના સામે સવાલો ઉઠાવ્યા છે. નમસ્કાર, મહારાષ્ટ્રમાં લોકલ બોડીની ચૂંટણીઓ ચાલી રહી છે. નગર પાલિકાની ચૂંટણીઓ પૂરી થઈ, હવે જિલ્લા પંચાયતોની ચૂંટણી થવાની છે. એના જ પ્રચારમાં અજિત પવાર બારામતી જઈ રહ્યા હતા. આ ચૂંટણીઓ સ્થાનિક કક્ષાની છે છતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઉકળતો ચરુ હતો. એ એટલા માટે કે અજિત પવાર તેના કાકા શરદ પવારની નજીક જઈ રહ્યા હતા અને બંને NCP એક મંચ પર આવવાની હતી. રાજકીય વિશ્લેષકો તો એવું કહે છે કે અજિત દાદા ફરીવાર શરદ પવાર કેમ્પમાં પાછા ફર્યા, તેની જાહેરાત જ થવાની બાકી હતી ને આ દુર્ઘટના થઈ. મહારાષ્ટ્રના રાજકારણની સંભાવનાઓ વિશે વાત કરીએ તે પહેલાં પ્લેન ક્રેશની દુર્ઘટના વિશે જાણી લઈએ… અજિત પવારનું પ્લેન ક્યારે, કેવી રીતે ક્રેશ થયું? મુંબઈથી સવારે 8 વાગ્યે અજિત પવાર તેના પર્સનલ સેક્રેટરી વિદીપ જાધવ, પાયલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન સાંભવી પાઠક અને ફ્લાઈટ એટેન્ડન્ટ પિન્કી માળી સાથે ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને બારામતી જવા ઊડ્યા. મિડ સાઈઝ બિઝનેસ ચાર્ટર્ડ જેટ લિયરજેટ-45 પ્લેન બારામતી તરફ આગળ વધી રહ્યું હતું. અજિત પવાર જે લિયરજેટ-45 પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને પ્રાઈવેટ જેટ અને ચાર્ટર્ડ ફ્લાઈટ પૂરી પાડતી દિલ્હીની VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ઓપરેટ કરે છે. આ પ્લેન 16 વર્ષ જૂનું હતું. આ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 8:10 વાગ્યે નીકળ્યું અને 8:40 વાગ્યે રડાર પરથી ગાયબ થઈ ગયું. (અહીં પ્લેનનો રૂટ બતાવાયો છે તે મેપ મૂકવો) મુંબઈથી બારામતીનું અંતર 250 કિમી છે. પ્લેનથી આ સફર કરવામાં 1 કલાક લાગે છે. આ પહાડોથી ભરેલો વિસ્તાર છે. અહીં ધુમ્મસ વધારે હોવાથી વિઝિબિલિટી ઓછી હતી. બારામતી એરપોર્ટના રન-વે પર ઉતરતાં પહેલાં આ પ્લેને આકાશમાં ચક્કર માર્યું હતું. એકવાર ઉતરવાની કોશિશ કરી પણ મેળ પડ્યો નહિ એટલે આંટો મારીને બીજીવાર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જ પ્લેન ક્રેશ થઈ ગયું. લેન્ડિંગ સમયે વિમાનમાંથી વિચિત્ર અવાજ આવતો. વિમાને ઉતરવાનો પ્રયાસ કર્યો પણ રનવે પરથી લપસી ગયું અને પછી જોરદાર વિસ્ફોટ થયો. અંદર બેઠેલા અજિત પવાર સહિત પાંચેયના મોત થયાં. લાશ ઓળખાય નહિ, એવી હાલત થઈ ગઈ. પ્લેન ક્રેશ થવાના કારણો ક્યા હોઈ શકે? (અહીં પ્લેનની માહિતી આપી છે તે ગ્રાફિક મૂકવું) મમતા બેનર્જી બોલ્યાં, અજિત પવાર ભાજપ છોડવાના હતા ને આ ઘટના બની પ્લેન ક્રેશમાં અજિત પવારના મૃત્યુ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અજિત પવારની પ્લેન ક્રેશની દુર્ઘટનાને ષડયંત્ર ગણાવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે આ માત્ર એક અકસ્માત ન હોઈ શકે. સમગ્ર ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થાય. અમને કોઈ કેન્દ્રીય એજન્સી પર વિશ્વાસ નથી. આ રીતે એક વર્તમાન નાયબ મુખ્યમંત્રીના વિમાનનો ક્રેશ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સત્ય બહાર આવવું જ જોઈએ. મમતાએ કહ્યું કે અજિત પવાર મહાયુતિ ગઠબંધન (NDA)થી નાખુશ હતા. તે ભાજપ છોડવાના હતા અને ખૂબ જ ટૂંક સમયમાં એક મોટો રાજકીય નિર્ણય લેવાના હતા. તે પહેલાં જ આ દુર્ઘટના શંકા ઊપજાવે તેવી છે. હુગલીના સિંગુરમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું, મને માહિતી મળી હતી કે અજિત પવાર ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનથી પોતાને દૂર કરી રહ્યા છે. તેઓ વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોકમાં પાછા ફરવાની યોજના બનાવી રહ્યા હતા. મમતાએ સંકેત આપ્યો કે તેઓ તેમના કાકા શરદ પવાર સાથે ફરી હાથ મિલાવવા અને મહારાષ્ટ્રમાં નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા માટે વાતચીત કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટનાની ટ્રાન્સપેરન્ટ તપાસની માગણી કરી છે. હવે વાત, મહારાષ્ટ્રના રાજકારણની જેની સૌથી વધારે ચર્ચા છે... અજિત પવારે વહેલી સવારે સાડા પાંચે શપથ લીધા અજિત પવારના જવાથી મહારાષ્ટ્રના રાજકારણની ધરી બદલાઈ જશે એ નક્કી. અજિત પવારને તેના કાકા શરદ પવારના ઉત્તરાધિકારી તરીકે જોવાતા હતા. છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ફાટફૂટ થઈ. અજિત પવાર સામે ભ્રષ્ટાચારના ઘણા કેસ હતા અને તેમાંથી સાંગોપાંગ બહાર નીકળવા માગતા હતા. તેમને લાગતું હતું કે જો તે ભાજપની પડખે ઊભા રહેશે તો આ કેસમાંથી મુક્તિ મળી જશે. 2019માં મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહોતી મળી ત્યારે શિવસેના અને ભાજપ વચ્ચે મતભેદ પેદા થયા હતા. એ પછી લાંબો સમય મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું. પછી એક દિવસે સમાચાર આવે છે કે અજિત પવાર તેના કાકા શરદ પવારથી અલગ થઈને 23 નવેમ્બર 2024ના દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે દેવેન્દ્ર ફડણવીસને મળે છે ને નાયબ મુખ્યમંત્રી તરીકે તરત શપથ લઈ લે છે. ત્યારે શરદ પવાર જેવા કદાવર નેતાએ પણ એવું કહ્યું હતું કે આ બધું મારી જાણ બહાર થયું છે. મને કાંઈ ખબર નથી. (અહીં અજિત પવારનો યુવાનીનો ફોટો મૂકવો) સુબહ કા ભુલા શામ કો ઘર આયા... અજિત પવાર રાજનીતિનો એકડો કાકા શરદ પવાર પાસેથી શિખ્યા છે. આગલા દિવસ સુધી શરદ પવાર સાથે મિટિંગમાં હાજર હતા. એ વખતે NCPની મિટિંગ ચાલી રહી હતી ત્યારે અજિત પવારના ફોનમાં એક મેસેજ આવે છે. ચાલુ મિટિંગે તે મેસેજ વાંચે છે. પછી એકાએક ઊભા થઈને કહે છે કે, તમે મિટિંગ ચાલુ રાખો હું વોશરૂમ જઈને આવું છું. અજિત દાદા વોશરૂમમાં ગયા. ત્યાં દસ મિનિટ સુધી કોઈ સાથે ફોનમાં વાત થાય છે. બધા રાહ જુએ છે કે અજિત દાદા વોશરૂમમાંથી આવ્યા કેમ નહિ... થોડીવારમાં તે મિટિંગ હોલમાં ફરી દાખલ થયા ત્યારે તેમના ચહેરાના હાવભાવ બદલાયેલા હતા. પણ ત્યારે કોઈને અણસાર આવ્યો નહિ કે અજિત દાદા સાંજે પાંચ વાગ્યે અહિ બેઠા છે ને સવારે પાંચ વાગ્યે ખેલ પાડી દેશે. અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પણ એ સરકાર 80 કલાકે ય ન ટકી. અજિત પવારને શરમ અનુભવાઈ. પણ પિતરાઈ બહેન સુપ્રીયા સુલે પિતરાઈ ભાઈ અજિતને મળવા પહોંચ્યાં. તેમણે સમજાવ્યા ને અજિત પવાર ફરી એકવાર કાકા શરદ પવાર પાસે પાછા ફર્યા. એકનાથ શિંદેએ શિવસેનામાં ભાગલા પાડતાં જ અજિત દાદા એક્ટિવ થયા એ પછી શિવસેનામાં એકનાથ શિંદેએ તડાં પાડ્યાં. એકનાથ શિંદેની નવી શિવસેના બની ત્યારે અજિત પવારે ફરી કાકા શરદ પવાર સાથે છેડો ફાડીને પોતાની અલગ NCP બનાવી. કાકા પાસેથી પાર્ટીનું નિશાન ઘડિયાળ પણ છીનવી લીધું. અજિત પવારે અલગ NCP બનાવતાં શરદ પવારની મૂળ NCP નબળી પડી. અજિત પવારે ભાજપને ટેકો આપ્યો. 2024ની લોકસભાની ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં તે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા. મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ફરી એકવાર અજિત અને શરદ પવાર નજીક આવે તેવી સંભાવના જણાતી હતી. કારણ કે પૂણે અને ચિંચવડમાં અજિત પવારે તેમના કાકા શરદ પવારે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. એવું કહેવાય છે કે ચાચા-ભતીજા ફરી એકસાથે છે, તેની જાહેરાત જ બાકી હતી. (અહીં પવાર, શિંદે, ફડણવીસની ત્રિપુટીનો ફોટો મૂકવો) અજિત પવારની NCPનું હવે શું થશે? અજિત પવારના ગયા પછી તેની જે અલગ NCP છે તેનું શું થશે, તે કહેવું મુશ્કેલ છે. NCP અત્યારે અવસાદની સ્થિતિમાં છે. અજિત પવારની NCP એક વ્યક્તિ આસપાસ જ રચાયેલી હતી અને અજિત પવારના ખભે આખી પાર્ટી ઊભી હતી. એક વ્યક્તિના જવાથી આખી પાર્ટીનું ભવિષ્ય ધૂંધળું પડી ગયું છે. પાર્ટી અનાથ બની ગઈ છે. બની શકે કે અજિત પવારની NCP હવે આગળ જતાં શરદ પવારની NCP સાથે ભળી જાય. અત્યારે કાંઈપણ કહેવું મુશ્કેલ છે કારણ કે ઘટનાક્રમ એકદમ જલ્દી બદલાતા રહેશે. અજિત પવારની NCP પાર્ટી સંપૂર્ણ રીતે તેના પર જ ડિપેન્ડન્ટ હતી. અજિત પવાર પાસે ધારાસભ્યો અને સાંસદોનું સંખ્યાબળ પણ સારું હતું. અજિત પવારની NCP કોણ ચલાવશે તે કહેવું મુશ્કેલ છે. અજિત પવારના બે દીકરા છે. પાર્થ અને જય. આ બેમાંથી કોઈ એક દીકરો આગળ આવીને સંભાળશે કે કેમ, તે સવાલ છે. પણ સંભાવના એવી વધારે લાગે છે કે શરદ પવારની NCP સાથે અજિત પવારની NCP મર્જ થઈ જશે. જો આવું થાય છે તો શરદ પવાર ભાજપને સમર્થન આપશે કે નહિ આપે, તે મોટો સવાલ છે. કારણ કે શરદ પવાર અગાઉ કહી ચૂક્યા છે કે ઉંમરના આ પડાવે પહોંચ્યા પછી હું ભાજપ સાથે ન જઈ શકું, તેને સમર્થન પણ ન આપી શકું. હવે અજિત પવાર રહ્યા નથી ત્યારે અજિત દાદાની NCPના નેતાઓ જો શરદ પવાર સાથે જાય છે તો મહારાષ્ટ્રની રાજનીતિમાં નવું સમીકરણ ઊભરી આવશે. શરદ પવાર સાથે તેની જ ચાલ ચાલ્યા હતા અજિત પવાર જેમ ગણપતિએ વેદ વ્યાસ મુનિને આખેઆખા મહાભારતનો ગ્રંથ લખાવ્યો હતો તે જ રીતે શરદ પવારે અજિત પવારને રાજનીતિનો કક્કો શીખવ્યો. રાજનીતિના બાવન પત્તાંની રમત પણ શીખવી. એ પણ શીખવ્યું કે રાજનીતિમાં બાવન પત્તાં નહિ, ત્રેપનમું પત્તું પણ હોય છે. અજિત પવારમાં એ તમામ ગુણ હતા જે શરદ પવારમાં હતા. શરદ પવારે 1977માં રાજનીતિની શરૂઆત કરી હતી તે પહેલાં વસંત દાદા પાટીલ તેમના ગુરૂ હતા. શરદ પવારે તેના ગુરૂની જ પાર્ટીને તોડી ને 36 વર્ષની ઉંમરે પોતાની પાર્ટી બનાવી ને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. એવી જ રીતે અજિત પવારે તેના કાકા અને ગુરૂ શરદ પવારની પાર્ટીને તોડી, તેની સામે બળવો કર્યો ને મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી બની ગયા. અજિત પવાર સમજી ગયા હતા કે જો લાંબો સમય કાકાની આંગળી પકડીને ચાલ્યા કરશે તો તેની સામેના ભ્રષ્ટાચારના કેસ આગળ ચાલશે ને જેલમાં પણ જવું પડશે એટલે તેમણે ચતુરાઈ વાપરીને કાકા શરદ પવાર સાથે છેડો ફાડ્યો ને ભાજપની પડખે ઊભા રહ્યા હતા. શરદ પવારની દીકરી સામે પોતાનાં પત્નીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં મહારાષ્ટ્રની રાજનીતિમાં બેતાજ બાદશાહ મનાતા અજિત પવાર 8 વાર ધારાસભ્ય અને છ વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા. એટલું જ નહિ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે વખત બજેટ રજૂ કરનારા નાણામંત્રી પણ રહ્યા. મહારાષ્ટ્રથી દિલ્હી સુધી અજિત પવારની ધાક હતી. અજિત પવારની NCPના ચાર સાંસદો છે. જેમાં સુનીલ તટકરે દત્તાત્રેય લોકસભામાં સાંસદ છે, તો ત્રણ સાંસદો રાજ્યસભામાં છે- પ્રફુલ્લ પટેલ, સુનેત્રા પવાર અને નીતિન જાદવ. અજિત પવારની NCP મોદી સરકારને સમર્થન આપે છે. દિલ્હી કરતાં પણ અજિત પવારનું કદ મહારાષ્ટ્રની વિધાનસભામાં વધારે છે. 2024માં અજિત પવારની NCPના 41 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. અજિત પવારના નિધન પછી હવે આ સંખ્યા 40 થઈ ગઈ છે. (અહીં ઘડિયાળમાં ફ્લાઈટનું કાર્ટૂન છે તે ફોટો મૂકવો) 2024માં લોકસભા ચૂંટણીમાં બારામતીમાં શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે સામે અજિત પવારે તેમનાં પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઉતારી દીધા હતા. આ રીતે નણંદ-ભાભી વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. તેમાં સુપ્રિયા સુલેની જીત થઈ હતી અને સુનેત્રા પવારની હાર થઈ હતી. આ હાર અજિત પવાર માટે પણ ઝટકો હતી. માત્ર વિધાનસભા જ નહિ, વિધાન પરિષદ અને સ્થાનિક ચૂંટણીઓમાં પણ અજિત પવારનો દબદબો રહ્યો હતો. અજિત પવારે તેના સાંસદો અને ધારાસભ્યોના જોરે પોલિટિકલ પાવર બનાવી રાખ્યો હતો. કેન્દ્રમાં મોદી સરકારને સમર્થન આપ્યું હતું અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારને સમર્થન આપ્યું હતું. ભાજપે અજિત પવારના જોરે મહારાષ્ટ્રની ખુરશી મેળવી. અજિત પવારને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી બનાવાયા હતા. અજિત પવારની પોલિટિકલ સફર દુ:ખની વાત એ છે કે અજિત પવાર છેક સુધી CM ઈન વેઈટિંગ રહ્યા (અહીં અજિત પવારના પરિવારનું ગ્રાફિક મૂકવું) શરદ પવારે કહેલું- અજિત પવારનું મુખ્યમંત્રી બનવાનું સપનું, સપનું જ રહેશે જ્યારે કાકા શરદ પવાર સાથે છેડો ફાડીને અજિત પવારે પોતાની અલગ NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) બનાવી ત્યારે શરદ પવાર અને અજિત પવાર એકબીજાની વિરુદ્ધ જાતજાતના નિવેદનો કરતા હતા. અજિત પવાર શિંદે અને ભાજપ સાથે ગઠબંધનમાં જોડાયા તેના 100 દિવસ પૂરા કર્યા. એ વખતે અજિત પવારે જનતાને સંબોધીને એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લોકોને જ્યોતિબા ફુલે, શાહુ મહારાજ અને ડો. આંબેડકરના વિચારો અને યશવંતરાવ ચવ્હાણની લોકકલ્યાણની નીતિનો વારસો જાળવી રાખવાની ખાતરી આપી હતી. રસપ્રદ વાત એ છે, કે આ પત્રમાં તેમણે પોતાને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દર્શાવ્યા હતા. શરદ પવારે તેમની આકરી ટીકા કરી હતી. શરદ પવારે કહેલું કે, અજિત પવારનું મુખ્ય મંત્રી બનવાનું સપનું, સપનું જ રહેશે. દુર્ભાગ્યે, આજે શરદ પવારના શબ્દો સાચા પડ્યા છે. (અહીં શરદ પવાર એકલા બેઠા છે અને બાજુમાં ખાલી ખુરશી છે તે ફોટો મૂકવો) અગાઉ પણ પ્લેન ક્રેશમાં મહાનુભાવોએ જીવ ગુમાવ્યા છે બળવંતરાય મહેતા: 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ભુજ સરહદ નજીક ગુજરાતના સીએમ બળવંતરાય મહેતાનું વિમાન પાકિસ્તાને તોડી પાડ્યું હતું. સીએમ સહિત 7 લોકોનાં અકસ્માતમાં મોત થયા હતા. સંજય ગાંધી: ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી એક નેતા અને પાયલટ હતા. 1980માં દિલ્હીના સફદરજંગ એરપોર્ટ નજીક એક નાનું વિમાન ઉડાવતી વખતે તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં સંજયનું નિધન થયું હતું. માધવરાવ સિંધિયા: કોંગ્રેસના દિગ્ગજ નેતા સિંઘિયાનું ખાનગી વિમાન 2001માં ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ક્રેશ થયું હતું. તેમની સાથે 4 પત્રકારોનાં પણ મોત થયા હતાં. જી.એમ.સી. બાલયોગી: 2002માં જ્યારે તત્કાલીન લોકસભા અધ્યક્ષ બાલયોગીનું આંધ્ર પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશમાં અવસાન થયું. વાયએસઆર રેડ્ડી: 2009માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે વાયએસઆર રેડ્ડીનું પ્લેન જંગલમાં ક્રેશ થઈ ગયું હતું. ક્રેશનું કારણ ખરાબ હવામાન હતું. 27 કલાક પછી તેમનો મૃતદેહ મળી શક્યો હતો. દોરજી ખાંડુ: 2011માં અરુણાચલના મુખ્યમંત્રી દોરજી ખાંડુ પોતાના જેટથી ઇટાનગર જઈ રહ્યા હતા. 13 હજાર ફૂટની ઊંચાઈએ તેમના વિમાનનો સંપર્ક તૂટી ગયો. 5 દિવસ પછી તેમનો મૃતદેહ અને હેલિકોપ્ટરના ભાગો મળી આવ્યા. બિપિન રાવત: પૂર્વ CDS બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021ના રોજ પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પત્ની સાથે એરફોર્સના વિમાનમાં તમિલનાડુના કુન્નૂર જઈ રહ્યા હતા. એરફોર્સની તપાસમાં આ અકસ્માતનું કારણ ‘પાયલટ એરર’ જણાવવામાં આવ્યું હતું. વિજય રૂપાણી: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. તેમાં 260 લોકોનાં મોત થયાં હતા. આમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા. છેલ્લે, અજિત પવારની પાર્ટી NCPનું નિશાન ઘડિયાળ છે. કરુણતા એ છે કે પ્લેન ક્રેશ પછી જ્યારે મૃતદેહોની ઓળખ થઈ રહી હતી ત્યારે અજિત પવારનો મૃતદેહ તેની ઘડિયાળ પરથી જ ઓળખાયો. અત્યારે તો અજિત દાદાની વિદાયથી NCPની ઘડિયાળમાં સમય થંભી ગયો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:55 pm

હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયની રિવિઝન અરજી હાઈકોર્ટે નકારી:ભરૂચ મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડનો કેસ, 10 આરોપીઓને સરેન્ડર કરવા 16 ફેબ્રુઆરી સુધીનો સમય

મે, 2025 માં ભરૂચના A ડિવિઝન પોલીસ મથકે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધાભાઈ સભાડ અને તપાસમાં મળી આવે તેવા સરકારી કર્મચારીઓ સામે એક સરકારી કર્મચારીએ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના હાર્દ મુજબ ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત બનેલા રસ્તાઓમાં ટેકનિકાલિટી મુજબ કામ થયા નહોતા અને મટીરીયલના ખોટા બિલો બનાવીને 19.64 કરોડ રૂપિયા સરકાર પાસેથી લઈ લેવામાં આવ્યા હતા. જેમાં 7.30 કરોડ રૂપિયા ખોટી રીતે મેળવવામાં આવ્યા હતા. આ મેળાપીપણામાં સરકારી કર્મચારીઓ પણ સામેલ હતા. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા અને તેમના પુત્રનું નામ સામે આવ્યુંભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ થયું હોવાનું અને તેમાં ટેન્ડરમાં દર્શાવેલ શરતો મુજબ મટીરીયલ નહીં વપરાયું હોવાનો પત્ર જિલ્લા વિકાસ અધિકારીને મળ્યો હતો. ભરૂચના જંબુસર, આમોદ અને હાંસોટ જેવા તાલુકાઓમાં રસ્તા બનાવવામાં ટેકનિકાલિટી મુજબ મટીરીયલ નહીં વાપરી, ખોટા બિલો રજૂ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા, બે તાલુકા વિકાસ અધિકારીઓ વગેરેના નામ સામે આવ્યા હતા. જો કે આરોપીઓને મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી 8 ઓક્ટોબર, 2025 ના રોજ જામીન મળી ગયા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમમાં નોંધ્યું હતું કે આરોપીઓ ઉપર હજુ સુધી ગુનો સાબિત થયો નથી. તેમને દોષિત ઠરાવ્યા પહેલા ગુનાની સજા આપી શકાય નહીં. આરોપીઓએ શ્રમિકોના ભાગના હકો ઉપર તરાપ મારીસરકારે મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમ સામે ભરૂચની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરતા ભરૂચની સેશન્સ કોર્ટે સરકારની અરજી ગ્રાહ્ય રાખીને મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમને રદ્દ કર્યો હતો. તેમજ આરોપીઓને કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટે હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે કૌભાંડના મુખ્ય સૂત્રધાર હીરા જોટવા અને તેમનો પુત્ર દિગ્વિજય જોટવા છે. કેસમાં માત્ર ચાર્જશીટ દાખલ થવાથી સંજોગો બદલાતા નથી. આરોપીઓએ સરકાર સાથે છેતરપિંડી કરી જ છે, પરંતુ સાથે જ શ્રમિકોના ભાગનું વળતર પણ લઈને તેમના હકો ઉપર તરાપ મારી છે. સાહેદો શ્રમિક હોવાથી, વગદાર આરોપીઓને જામીન મળતા તેઓ તેમને તોડી શકે છે. આ કેસમાં હજુ પણ કેટલાક રસ્તાની તપાસ કરવાની બાકી છે. ત્યારે આરોપીઓને મળેલ જામીન રદ કરવા જોઈએ. આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતીભરૂચની સેશન્સ કોર્ટે આરોપીઓને 12 ડિસેમ્બરના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમને રદ કરી નાખ્યો હતો અને આરોપીઓને 13 ડિસેમ્બરના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટે હુકમ કર્યો હતો. જો કે આરોપીઓએ સેશન્સ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટ દ્વારા આરોપીઓને સરેન્ડર સમયમાં એક્સટેન્શન અપાતા આરોપીઓ જેલ બહાર જ રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં આરોપીઓ વતી રજૂઆત કરવામાં આવી હતી કે રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. મોટાભાગના રસ્તાઓનું ચેકિંગ હજી સુધી થયું નથી. સરકારી અધિકારીઓએ ટેકનિકાલિટી મુજબ જ કામ કરાવ્યું છે. તેનું ચેકિંગ પણ ઘણા લેયરે થતું હોય છે. આરોપીઓને સરેન્ડર કરવા 16 ફેબ્રુઆરી સુધીનો સમયહાઇકોર્ટમાં સેશન્સ કોર્ટના સરેન્ડર થવાના હુકમ સામે કરાયેલી રિવિઝન અરજીમાં હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી મહેશકુમાર પરમાર અને મોહમ્મદ સોહલ ઇસ્માઈલ પટેલનો પણ સમાવેશ થતો હતો. ગુજરાત હાઇકોર્ટે 29 જાન્યુઆરી સુધી તેમને સરેન્ડર કરવાનો સમય વધારી આપ્યો હતો. જો કે અરજી ફગાવ્યા બાદ આરોપીના વકીલે કાનૂની હક્ક મુજબ આગળ કાર્યવાહી કરવા માટે સમયની માગ કરતા તેમને સરેન્ડર થવા માટે 16 ફેબ્રુઆરી, 2026 સુધી સમય વધારી આપવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરનાર આરોપીઓ

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:53 pm

પંચમહાલમાં ધરતી માતા બચાવો અભિયાનની બેઠક યોજાઈ:ખાતરના યોગ્ય ઉપયોગ અને પ્રાકૃતિક કૃષિ પર ભાર

પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરીના કોન્ફરન્સ રૂમમાં 'ધરતી માતા બચાવો અભિયાન' અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કરી હતી. બેઠક દરમિયાન ખેડૂતોમાં ખાતરના યોગ્ય ઉપયોગ અંગે વ્યાપક જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા, રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડો કરવા અને ખાતરના વધુ પડતા વેચાણ પર કડક નજર રાખવા માટે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. જિલ્લા કલેક્ટરે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ્ય નિગરાની સમિતિની બેઠકો યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવે. તેમજ, ખાતરના સંતુલિત ઉપયોગ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. આ બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ, સમિતિના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે 'ધરતી માતા બચાવો અભિયાન'ને સફળ બનાવવા માટે તમામ વિભાગોને સંકલિત રીતે કામગીરી કરવાની અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:52 pm

હિંમતનગર શક્તિનગર મહાકાલી મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો:માતાજીને અન્નકૂટ અર્પણ કરાયો, નવચંડી હવન અને આરતી કરાઈ

હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર શક્તિનગર ખાતે આવેલા નૂતન જીર્ણોદ્ધાર શ્રી મહાકાલી માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ બુધવારે યોજાયો હતો. આ પ્રસંગે મંદિરમાં નવચંડી હવન, અન્નકૂટ અર્પણ અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવની ઉજવણી બુધવારે બપોરના સમયે યજમાનના હસ્તે નવચંડી હવનના પ્રારંભ સાથે થઈ હતી. શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થઈ હતી, ત્યારબાદ આરતી કરવામાં આવી હતી અને સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરના નૂતન જીર્ણોદ્ધાર બાદ આ પ્રથમ પાટોત્સવ હતો, જે 33મા પાટોત્સવ નિમિત્તે યોજાયો હતો. આ અવસરે માતાજીને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરને ફુગ્ગા અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ પાટોત્સવમાં માતાજીના ભક્તો, શ્રદ્ધાળુઓ, મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:51 pm

શહેરામાં સરપંચની કસ્ટડીમાંથી ટ્રેક્ટર ભગાડ્યું:મામલતદારે ઝડપેલું ગેરકાયદેસર ખનીજ ભરેલું ટ્રેક્ટર પોલીસે ફરી પકડ્યું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબોદરા ગામેથી મામલતદારે ગેરકાયદેસર ખનીજ ભરેલું એક ટ્રેક્ટર ઝડપ્યું હતું. આ ટ્રેક્ટર સરપંચની કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ ખનીજ માફિયાઓ તેને ભગાડી ગયા હતા. શહેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ટ્રેક્ટરને ફરીથી ઝડપી પાડ્યું છે. ગત 20 ડિસેમ્બરના રોજ શહેરા મામલતદાર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા. નિયમ મુજબ, આ ઝડપાયેલા ટ્રેક્ટરોને લીંબોદરા ગામના સરપંચની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા. જોકે, ખનીજ માફિયાઓએ કાયદાની અવગણના કરીને સરપંચની કસ્ટડીમાંથી એક ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી નીરજ ગામિત દ્વારા શહેરા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. આ અરજીના આધારે શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ચૌધરી અને તેમની ટીમે બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી ટ્રેક્ટર શોધી કાઢ્યું હતું. ત્યારબાદ ટ્રેક્ટર ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહીને પગલે પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:50 pm

ગાંધીનગરમાં ધોળે દિવસે ફિલ્મી ઢબે પરિણીતાનું અપહરણ:PDPU રોડ પર પતિને માર મારી અપહરણકારો પત્નીને અંબાપુરથી બ્રેજા ગાડીમાં ઉઠાવી ગયા, રાફેલ સહિત 9 સામે ફરિયાદ

ગાંધીનગરના અંબાપુર ગામમાં રહેતા એક યુવકને ભાડે ગાડી કરવાના બહાને રાયસણ શાહી સિગડી રેસ્ટોરન્ટ પાસે બોલાવી તેને માર મારી બંધક બનાવી તેની પત્નીનું ઘરે જઈને ધોળા દિવસે અપહરણ કરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. તાજેતરમાં જ યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હોવાથી તેની અદાવતમાં જ અપહરણ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મામલે અડાલજ પોલીસે રાફેલ નામના શખ્સ સહિત 9 સામે ફરિયાદ નોધી એક ટીમને રાજસ્થાન રવાના કરાઈ છે. બનાવ પાછળ પ્રેમલગ્ન કારણભૂતગાંધીનગરના અંબાપુર ગામમાં બ્રિજ રેસિડેન્સીમાં બંગલા નંબર 8માં રહેતો અને ઓલા-ઉબરમાં ટેક્સી ચલાવતો અમન શંભુકુમારસિંહ ચૌહાણ એકાદ વર્ષે અગાઉ સરગાસણ નેનો સિટીમાં રહેતો હતો. તે વખતે સોસાયટીમાં રહેતી મુળ રાજસ્થાન ભીલમાલની ડિવોર્સી ભાવના નાથુરામ દરજી સાથે આંખો મળી હતી. બંનેને લગ્ન કરવા હતા પણ ભાવનાના પરિવારજનો એ વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં બંનેએ 16 જાન્યુઆરી 2026 ના રોજ દહેગામ પ્રમુખ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે પ્રેમલગ્ન કરી લીધા હતા. દરમિયાન ગત તા.27 જાન્યુઆરીના રોજ સાંજે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને મનીષ નામના વ્યક્તિએ હાથીજણ જવા માટે ભાડું નક્કી કરી અમનને રાયસણ પીડીપીયું રોડ પરની શાહી સીગડી રેસ્ટોરન્ટ ખાતે બોલાવ્યો હતો. અમન ત્યાં પહોંચતા જ એક સફેદ સ્વીફ્ટમાં આવેલા ચાર શખ્સોએ તેની ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને તેને બળજબરીથી પોતાની ગાડીમાં બેસાડી દીધો હતો. પરિણીતાનું બળજબરી પૂર્વક અપહરણ કરી ગયાઆ અપહરણકારોએ અમનને તેની પત્ની ભાવના વિશે પૂછપરછ કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેને લઈને અંબાપુર તેના ઘરે જવા રવાના થયા હતા. જ્યાં રસ્તામાં રાજધાની હોટલ પાસે અન્ય એક સફેદ બ્રેઝા ગાડી પણ આ ટોળકી સાથે જોડાઈ હતી. બાદમાં સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે બંને ગાડીઓ અમનના ઘરે પહોંચી હતી. આરોપીઓએ અમનની 27 વર્ષીય પત્ની ભાવનાબેનને જબરદસ્તીથી સાથે ચાલવા દબાણ કર્યું હતું. જોકે ભાવનાએ ઘસીને ના પાડી દેતા અને સાસરીયાએ પણ વિરોધ કરતા અપહરણકારોએ ઝપાઝપી કરી હતી અને ભાવનાને ટીંગાટોળી કરી સફેદ બ્રેઝા ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના પછી અમનના મિત્ર રિઝવાન શેખ પર રાફેલ નામના યુવકનો ફોન આવ્યો હતો જેણે સ્વીકાર્યું હતું કે ભાવના હાલ તેના પરિવાર સાથે છે અને બે-ત્રણ દિવસમાં પરત આવી જશે. ત્યારે પ્રેમલગ્નની અદાવતમાં જ અપહરણ થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આ અંગે અડાલજ પીઆઇ એલ.ડી.ઓડેદરાએ કહ્યું કે,રાફેલ સહિત નવ શખ્સો વિરુધ ગુનો દાખલ કરી એક ટીમને રાજસ્થાન રવાના કરાઈ છે. જ્યારે એક ઇસમની અટકાયત કરી પૂછતાછ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:50 pm

રાષ્ટ્રીય બાલિકા દિવસ: માત્ર દીકરી ધરાવતા દંપતીઓનું સન્માન:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મિશન શક્તિ અને બેટી બચાવો યોજનાની સમીક્ષા બેઠક

પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ અને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત માત્ર દીકરી ધરાવતા દંપતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'મિશન શક્તિ' યોજના હેઠળ જિલ્લામાં મહિલા સશક્તિકરણ માટે ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, રાજ્ય સ્તરે ‘સ્ટેટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ (SHEW) અને જિલ્લા કક્ષાએ ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન’ (DHEW) કાર્યરત કરાયા છે. પાટણ જિલ્લા કલેક્ટર આ DHEW યોજનાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા, તેમને સુરક્ષા પૂરી પાડવી, લિંગ આધારિત અસમાનતા દૂર કરવી અને કાયદાકીય સમજ આપવાનો છે. નવી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લાભાર્થીઓને દીકરી વધામણા કીટ તેમજ સ્ટડી કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. DHEW, BBBP અને OSC જેવી વિવિધ યોજનાઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા 'વહાલી દીકરી યોજના'ના અમલીકરણમાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી, જેના પર વહીવટી તંત્ર દ્વારા સહમતિ દર્શાવવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના પ્રતિનિધિ, રોજગાર અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર (ICDS), દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી તેમજ DHEW અને OSC સ્ટાફ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:46 pm

ગુરુકૃપા ટ્રેડિંગમાં ફૂડ વિભાગ સાથે મળીને SOGના દરોડા:સીમાડા ગામમાંથી 629 કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપાયો, વેપારીની પૂછપરછ કરાઈ

સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે SOG પોલીસની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેડિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી છે. 629 કિલો શંકાસ્પદ જથ્થો કબ્જે લેવાયોસીમાડા ગામ, વાલમ નગર સોસાયટી વિભાગ-1 ના પ્લોટ નંબર 8 માં આવેલી 'ગુરુકૃપા ટ્રેડિંગ' નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. SOG ને તપાસમાં 540 કિલો નોન-બ્રાન્ડેડ ચીઝ એનાલોગ (જેને પનીર તરીકે ખપાવવામાં આવતું હતું) અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો હતો. આમ, કુલ 629 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કામરેજના વેપારીની અટકાયત અને તપાસઆ મામલે SOG એ દુકાન માલિક ચંદુભાઈ બાબુભાઈ સાવલીયા (ઉંમર 51 વર્ષ)ની પૂછપરછ હાથ ધરી છે. આરોપી વેપારી મૂળ જૂનાગઢ જિલ્લાના બંધાળા ગામના વતની છે અને હાલ કામરેજમાં બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર 23, અતિથિ બંગલોમાં રહે છે. SOG પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં શંકાસ્પદ પનીર અને માવો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વેપારીના સંપર્ક માટે બે મોબાઈલ નંબરોની વિગતો પણ સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:37 pm

જમવાનું ટિફિન ઓછું આવતા પતિએ પત્ની આપ્યા ત્રણ તલાક:પરિણીતા ભાઈના લગ્નમાં પિયર ગઈ, સાસુ-પતિને જમવાનું ટિફિન મોકલ્યું; પત્નીને ફોન પર જ ત્રણ તલાક આપ્યા

શહેરના શાહપુર વિસ્તારમાં રહેતી મુમતાઝબાનુને તેના પતિએ ફોન પર જ તલાક આપી દીધા હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુમતાઝબાનુ તેના ભાઈના લગ્ન હોવાથી પિયર ગઈ હતી. જેથી સાસુ અને પતિ માટે જમવાનું ટિફિનમાં મોકલી આપ્યું હતું. જમવાના ટિફિનમાં ભોજન ઓછું હોવાથી ઉશ્કેરાયેલા પતિ મુનાફ શેખે તેની પત્ની મુમતાજબાનુને ફોન પર જ ત્રણ તલાક આપી દીધા હતા. મુમતાઝબાનુએ પતિ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતા ભાઈના લગ્ન હોવાથી પિયર ગઈ હતીશાહપુરમાં રહેતી યુવતીના લગ્ન મેઘાણીનગરના રહેતા મુનાફ શેખ સાથે થયા હતા. બંને સમાજના રીત રિવાજ મુજબ જ લગ્ન કર્યા હતા. જે બાદ યુવતીએ ત્રણ જેટલા બાળકોને જન્મ પણ આપ્યો હતો. જાન્યુઆરી 2026માં મુમતાઝબાનુ સગા ભાઈના લગ્ન હોવાથી તે પિયર ગઈ હતી. તેના સસરા એક મહિના પહેલા મૃત્યુ પામ્યા હોવાથી પતિની મંજૂરી લઈને પિયર ગઈ હતી. ત્રણ બાળકોને લઈને મુમતાઝબાનુ લગ્ન માટે આવી હતી. 18 જાન્યુઆરીએ બપોરે જમણવાર રાખ્યો હોવાથી મુમતાઝબાનુએ તેના સાસુ અને પતિ માટે ટિફિન ભર્યું હતું. ટિફિન ઓછું આવતા પતિએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપીટિફિન મુમતાઝબાનુએ સાસરિયામાં મોકલી આપ્યું હતું. જે બાદ રાત્રે મુમતાઝબાનુના પતિનો ફોન આવ્યો હતો. ફોન કરીને મુનાફ શેખ તેની પત્ની મુમતાઝબાનુ પર ઉશ્કેરાઈ ગયો હતો. તારી સાસરીમાં એક પ્લેટ જેટલું ખાવાનું મોકલે છે, આટલું તો હું રોજ ભિખારીઓને ભીખમાં આપું છું. પત્નીએ જ્યારે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પતિએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપી હોવાની મુમતાઝબાનુએ આક્ષેપ કર્યો છે. જો કે મુમતાઝબાનુએ તેના ભાઈના લગ્ન હોવાથી બધું સહન કરી લીધું હતું. પરિણીતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવીમુમતાઝબાનુએ તેના પતિ મુનાફ શેખને અનેક વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ ટિફિન મોકલવા જેવી બાબતે પત્નીને તલાક આપવાનું નક્કી કરી દીધું હતું. ફોન પર જ મુનાફ શેખે પત્ની મુમતાઝબાનુને ત્રણ વખત તલાક આપું છું કહીને તલાક આપી દીધા હતા. જેથી મુમતાઝબાનુ ગભરાઈ જતા તેને પરિવારને જાણ કરી હતી. જે બાદ તેને મુનાફ શેખ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 28 Jan 2026 7:36 pm