SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

પઢિયાર પરિવારે સત્યમ સેવા યુવક મંડળને મેડિકલ સાધનો અર્પણ કર્યા:સ્વર્ગસ્થ મિલાપસિંહ પઢિયારની પુણ્યતિથિ નિમિત્તે અંધ કન્યા છાત્રાલયમાં કાર્યક્રમ યોજાયો

પઢિયાર પરિવારે સ્વર્ગસ્થ મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢિયારની પુણ્યતિથિ નિમિત્તે સત્યમ સેવા યુવક મંડળને ₹15,000 ના વિવિધ મેડિકલ સાધનો અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના હોલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે દાતા યોગેન્દ્રસિંહ પઢિયાર અને અશોકભાઈ ભટ્ટ દ્વારા દીપ પ્રગટાવી મેડિકલ સાધન અર્પણ વિધિ કરવામાં આવી હતી. આ સાધનો જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. કાર્યક્રમમાં સત્યમ સેવા યુવક મંડળના ટ્રસ્ટી કમલેશભાઈ પંડ્યા અને શાંતાબેન બેસ, તેમજ અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી, ટ્રસ્ટી બટુક બાપુ, અજીતભાઈ ગોધાણી, જયાબેન પરમાર અને રાજુભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ સુંદર પ્રાર્થના અને ધૂન રજૂ કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી બટુક બાપુએ સંસ્થાનો પરિચય આપી પઢિયાર પરિવારના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી.બટુક બાપુએ પઢિયાર પરિવારનો સત્યમ સેવા યુવક મંડળને હંમેશા સહયોગ મળતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. કમલેશભાઈ પંડ્યાએ પઢિયાર પરિવારની નિષ્ઠાવાન સેવા અને સમાજમાં તેમની છાપનું વિગતવાર વર્ણન કર્યું હતું. આભાર વિધિ કરતાં અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથીએ બંને સંસ્થાઓ, સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે બંને ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા છે અને સત્યમ સેવા યુવક મંડળની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજભાઈ સાવલિયા, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટની લાભાર્થી અંધ દીકરીઓ અને જ્યોતિબેન કાળિયા સહિત અનેક લોકોએ યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:57 pm

વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:જાલેશ્વર ફીડરમાં સમારકામ, સવારે 9થી બપોરે 1:30 સુધી અસર

વેરાવળ શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ વીજ પુરવઠો ખોરવાશે. પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી જાલેશ્વર ફીડરમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે સવારે 9 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી વીજળી બંધ રહેશે. આ વીજ કાપ નવરાત્રી મહોત્સવના અનુસંધાને હાથ ધરવામાં આવેલી સમારકામની કામગીરીને કારણે રહેશે. તેનાથી નવા રબારી વાડા, મફતિયા પરા, જાલેશ્વર, સંજય નગર, પ્રજાપતી સોસાયટી અને BSNL ક્વાટર્સ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે.પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.વધુમાં, વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજંસી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે પરિવારના સભ્યોની સલામતી હેતુ વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાડવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:56 pm

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં ટોય કોન્ક્લેવ યોજાઈ:વડાપ્રધાનના 75મા જન્મદિને રમકડાં વિજ્ઞાન અને શિક્ષણ પર ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ટોય સાયન્સ એન્ડ એજ્યુકેશન કોન્ક્લેવ–2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશમાં સ્વદેશી રમકડાંના નિર્માણ અને આત્મનિર્ભરતા માટે આપેલા સંકલ્પને સાકાર કરવા યુનિવર્સિટીએ રમકડાં વિજ્ઞાન કેન્દ્ર અને બાલભવન વિભાગ સ્થાપ્યા છે.કુલપતિ ડૉ. ટી.એસ. જોષીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણ સલાહકાર અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અંજુ મુસાફિર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આઈઆઈએમ અમદાવાદના નિવૃત પ્રોફેસર વિજય શેરી ચંદ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા.અંજુ મુસાફિરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, બાળકોમાં સંસ્કાર સિંચન માટે વેલ્યુ બેઝ્ડ પેડાગેમ્સ (શિક્ષણ આધારિત રમકડાં) વિકસાવવાની જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, બાળક ખેલશે તો ખીલશે, અને બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે રમકડાં આધારિત પ્રવૃત્તિઓ ઉપયોગી સાબિત થાય છે. પ્રોફેસર વિજય શેરી ચંદે રમકડાં આધારિત શિક્ષણના વ્યાપક દૃષ્ટિકોણ પર શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું.કુલપતિ ડૉ. ટી.એસ. જોષીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ભારતને રમકડાં ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાને જે દૃઢ સંકલ્પ કર્યો છે, તે દિશામાં યુનિવર્સિટી ટોય સાયન્સ સેન્ટર મારફતે કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, આજે રજૂ થયેલા શિક્ષણ આધારિત રમકડાંઓને યુનિવર્સિટી તરફથી પેટન્ટ કરાવવા સહાય પૂરી પાડવામાં આવશે.આ અવસરે યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. જય ઓઝાએ ભારતીય સંસ્કૃતિમાં રહેલી પ્રાચીન રમતો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી. ડૉ. વૃંદન જયસ્વાલે આયુર્વેદના દ્રષ્ટિકોણથી બાળવિકાસ માટે ઉપયોગી રમકડાં વિશે વાત કરી, જ્યારે પાયલ રોતે રમકડાં આધારિત શિક્ષણના અમલીકરણના પડકારો રજૂ કર્યા. ભાવેશ પંડ્યાએ પ્રાચીન ભારતીય રમકડાંઓ પર પ્રકાશ પાડ્યો.રાજ્યભરના લગભગ 40 શિક્ષકોએ શિક્ષણ આધારિત ટીએલએમ (Teaching Learning Material) રમકડાંઓની પ્રદર્શની રજૂ કરી હતી, જેને જોઈને હાજર રહેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પ્રભાવિત થયા. યુનિવર્સિટી આ પ્રદર્શિત રમકડાંઓ પર એક પુસ્તક પ્રકાશિત કરશે અને નવીન રમકડાંઓને પેટન્ટ કરાવવાના પ્રયત્નો કરશે.આ કાર્યક્રમમાં સેન્ટર ઓફ ટોય સાયન્સના નિયામક પ્રોફેસર નિમિષ વસોયાએ સંયોજક તરીકે અને ડૉ. રાજેશ વાંસદડિયાએ સંચાલક તરીકે સફળ કામગીરી સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:54 pm

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ ખુલ્લું મુકાયાના 12 દિવસમાં જ બંધ:ફાયર એનઓસી ન મળતા મ્યુઝિયમને તાળા મરાયા, પ્રવાસીઓને ધરમધક્કો થતાં રોષની લાગણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રૂ.34 કરોડના ખર્ચે બનેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમને મંત્રી મુળુ બેરાના હસ્તે ખુલ્લું મુકાયું હતું, જોકે, ફાયર એનઓસી ન મળતા હાલમાં આ મ્યુઝિયમ બંધ કરાયું છે. દિવ્યભાસ્કર ડિજિટલની ટીમે જ્યારે આ મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે અહીં ખંભાતી તાળા લાગેલા નજરે પડ્યા હતા. ગત 6 સપ્ટેમ્બરના રોજ પ્રવાસન અને વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, કલેક્ટર અને ડીડીઓની હાજરીમાં આ અધ્યતન સંગ્રહાલયને જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતભરમાંથી આ મ્યુઝિયમ જોવા આવતા લોકોને ધરમધક્કો થતાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. લાગતા વળગતા તંત્ર દ્વારા આ મ્યુઝિયમ તાકીદે શરુ કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે 5,000 ચો.મી. પરિસરમાં ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂ.34 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ.5 કરોડના ખર્ચે વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ જણાવ્યું હતું કે, કરોડોના ખર્ચે બનેલા આ મ્યુઝિયમને સરકાર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા બાદ ફાયર એનઓસી ન મળતા હાલ એ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે સરકાર અને લાગતા વળગતા વિભાગ દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરી આ મ્યુઝિયમ તાકીદે શરુ કરવામાં આવે તો ગુજરાતભરના લોકો માટે સ્વ. ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો યાદ કરવા અને ભવ્ય ભૂતકાળ વાગોળવાનો અવસર પ્રાપ્ત થઇ શકે. રાજકોટથી ખાસ આ મ્યુઝિયમ જોવા આવેલા રમેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટથી આજે હું ચોટીલા આવ્યો ત્યારે મને એમ થતું કે, અહીં ઝવેરચંદ મેઘાણીનું નવું મ્યુઝિયમ બન્યું છે, તો હું એ જોઈ આવું, જોકે, અહીં આવ્યો તો અહીં તાળા મારેલા જોવા મળ્યા હતા. મારે અહીં આજે ધરમનો ધક્કો થયો છે. મારે સરકારને એવું કહેવાનું થાય છે કે, મ્યુઝિયમ ખુલ્લું રાખો તો બહારગામથી આવતા લોકોને એ જોવા મળે, અને ફોગટનો ધક્કો નો થાય. આ અંગે પુસ્તકાલયમાં આવેલા સિનિયર સીટીઝન ધરમશીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમ ખુબ સરસ બનાવ્યું છે, જેનાથી ચોટીલાની પ્રજા અને ગ્રામ્યની પ્રજાને એનો ખુબ લાભ મળશે, પણ હાલમાં અમને એવુ જાણવા મળ્યું છે કે, આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન તો થઇ ગયું, હજી એ ખુલ્યું નથી, લોકોને અને પ્રજાને એનો લાભ મળ્યો નથી. એમાં સરકાર તરફથી એનઓસી ન મળવાના કારણે આ બન્યું હોવાનું જાણવા મળ્યું છે, વહેલી તકે એનઓસી મળે અને આ મ્યુઝિયમ શરુ કરવામાં આવે એવો અમારો પ્રજાનો સરકાર પાસે અનુરોધ છે. ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયમાં સરકારી નોકરીની તૈયારી માટે અભ્યાસ અર્થે આવેલા શ્રેયસ પરમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નવ નિર્મિત પુસ્તકાલય અને સામે જ બનેલા ઝવેરચંદ મેઘાણીનું સંગ્રહાલય બનાવીને સરકારે ચોટીલા પંથક માટે ખુબ જ સારુ કામ કર્યું છે, અમે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવીએ છીએ, અને હાલમાં 10-12 યુવાનો એ માટે નિયમિત અહીં આવીએ છીએ. અહીં ઘણા બધા મુલાકાતીઓ પણ અહીં આવે છે, પરંતુ સામેથી બનેલા મ્યુઝિયમમાં હજી ફાયર એનઓસી નથી, એ બાબતે સરકાર અને તંત્ર વહેલી તકે નિવારણ લાવે એવી અમારી રજૂઆત છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:51 pm

50 રૂપિયા માટે મિત્રનો જીવ લીધો:સુરતમાં જન્મદિવસની ઉજવણી માટે ખર્ચ થયેલા ભાગે પડતાં પૈસા માગતા ચપ્પુથી હુમલો કરી પતાવી દીધો, બેની ધરપકડ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર 50 રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રનો જીવ લીધો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં જન્મદિવસના ખર્ચમાં ભાગે પડતા પૈસા પાછા માગતા આરોપીએ તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે. જન્મદિવસની ઉજવણીમાં મિત્રની હત્યામળતી માહિતી અનુસાર, મંગળવારની રાત્રિએ પાંડેસરાના રોકડિયા હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં રહેતો અને જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરતો 28 વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંગ, તેના મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંગના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો. ભગતસિંહ અને તેના મિત્રોએ અલથાણની એક હોટલમાં જઈને પાર્ટી કરવાની યોજના બનાવી હતી. 50 રૂપિયા માગને ગાળાગાળી કરીયોજના મુજબ તેઓ પાંડેસરાના તિરુપતિ પ્લાઝા ખાતે એક પાનના ગલ્લા પાસે ઊભા હતા. આ સમયે અન્ય એક મિત્ર અનિલ રાજભરે જન્મદિવસની પાર્ટીના ખર્ચમાં ભાગરૂપે બિટ્ટુ પાસે માત્ર 50 રૂપિયાની માંગણી કરી હતી. આટલી નાની રકમ માટે બિટ્ટુએ ઉશ્કેરાઈને અનિલ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી. આ દલીલ જોતજોતામાં ભયંકર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ચપ્પુ વડે હુમલો કરી પતાવી દીધોડીસીપી નિધિ ઠાકુરે આ ઘટનાની વિગત આપતા જણાવ્યું કે, ઝઘડા દરમિયાન ભગતસિંહે વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા બિટ્ટુ અને તેના અન્ય એક મિત્ર ચંદન કરુણાશંકર દુબેએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આ ઝપાઝપીમાં ભગતસિંહે કારના વાયપરનો ભાગ ચંદનના માથા પર મારી દીધો. આટલું થતાં જ બિટ્ટુએ ગુસ્સામાં આવીને ભગતસિંહ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. તેણે ભગતસિંહની પીઠ પર ઉપરાછાપરી ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઝપાઝપીમાં અનિલ રાજભરને પણ ચપ્પુના ઘા વાગ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બે હત્યારા રીઢા ગુનેગારની ધરપકડઆ ઘટના બાદ મૃતક ભગતસિંહના ભાઈ નાગેન્દ્ર સિંગે તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ બિહારના બિટ્ટુ કાશીનાથ અવધિયા (ઉ.વ. 23) અને ચંદન કરુણાશંકર દુબે (ઉ.વ. 23)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ હત્યારાઓ પૈકી ચંદન દુબે રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ લૂંટ અને મારામારી જેવા ચાર જેટલા ગુનાઓ પહેલેથી જ નોંધાયેલા છે. પરિવારમાં શોકનો માહોલમાત્ર 50 રૂપિયા જેવી નજીવી બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ભગતસિંહના પરિવારમાં માતા, ભાઈ-બહેનો અને અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે. એક નિર્દોષ યુવકનો જીવ માત્ર સામાન્ય વિવાદમાં છીનવાઈ ગયો છે. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હુમલાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:47 pm

વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી:અમદાવાદની શાળાના બાળકોએ પ્રોજેક્ટ દ્વારા પાઠવી શુભકામના

અમદાવાદના વિસલપુર સ્થિત શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની સફર અને તેમની કારકિર્દી વિશે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી. આ માહિતી તેમણે પોતાના સહપાઠીઓ સાથે પણ વહેંચી હતી, જેનાથી અન્ય વિદ્યાર્થીઓને પણ વડાપ્રધાનના જીવન વિશે જાણવા મળ્યું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:37 pm

કોંગ્રેસની ખેડૂત અધિકાર યાત્રા:સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 'ખેડૂત અધિકાર યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતર, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ, અને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમભાઈ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા. આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. કલેક્ટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓએ રસ્તા પર બેસીને ધરણા કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:36 pm

દાહોદના 5 PHCને નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ:એસ્પીરેશનલ પ્રોગ્રામ હેઠળ ગ્રામીણ આરોગ્ય સેવાઓને વેગ, માતા-બાળ સ્વાસ્થ્ય પર ધ્યાન

દાહોદ જિલ્લાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નીતિ આયોગના એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. નયન જોષીએ લીલી ઝંડી આપીને કર્યું હતું.દાહોદ જિલ્લો એસ્પીરેશનલ જિલ્લા તરીકે ઓળખાય છે, જ્યાં આરોગ્ય, શિક્ષણ અને અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ધ્યાન અપાય છે. આ એમ્બ્યુલન્સ ફાળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાનો, સંસ્થાકીય સુવાવડ વધારવાનો અને આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાનો છે.આ નવી એમ્બ્યુલન્સ રૂપાખેડા (ઝાલોદ), બાંડીબાર (લીમખેડા), જામ્બુઆ અને પાંચવાડા (ગરબાડા), તેમજ કુવાબૈણા (દેવગઢ બારિયા)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવી છે. આ વિસ્તારો દુર્ગમ અને આદિવાસી વસ્તી ધરાવતા હોવાથી, આ એમ્બ્યુલન્સ તાત્કાલિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. દરેક એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર, ઑક્સિજન અને ઈમરજન્સી કિટ જેવા જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ છે, જે ખાસ કરીને પ્રસૂતિ અને કટોકટીની સેવાઓ માટે ઉપયોગી થશે. આ એમ્બ્યુલન્સની કુલ કિંમત આશરે 75 લાખ રૂપિયા છે, જેમાં પ્રત્યેક એમ્બ્યુલન્સનો ખર્ચ લગભગ 15 લાખ રૂપિયા થાય છે. આ પહેલથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને તાત્કાલિક આરોગ્ય સેવાઓ મળી રહેશે, જેનાથી આરોગ્ય સેવાઓ વધુ સશક્ત બનશે.આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી એમ્બ્યુલન્સ ગ્રામીણ દાહોદમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ઝડપમાં નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:35 pm

સુઈગામમાં ઘાસચારા વિતરણ સમયે પશુપાલકો વચ્ચે મારામારી:ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ, ઘટનાનો વીડિયો વાયરલ

બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામમાં ઘાસચારાના વિતરણ દરમિયાન પશુપાલકો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના સુઈગામના બેણપ ગામમાં બની હતી, જ્યાં અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસચારાની ગાંસડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.આ મામલે એક ફરિયાદી પશુપાલકે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સુઈગામમાં સરકાર દ્વારા પશુઓ માટે ઘાસચારાના ડેપો બનાવી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પશુપાલકોને મુશ્કેલી ન પડે.આ સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પશુપાલકો વચ્ચે ઝપાઝપી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:34 pm

મોટી ખાવડી શાળામાં કલેકટરની અધ્યક્ષતામાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ:કલેકટરે કહ્યું: સ્વચ્છતા એ જ સ્વભાવના સૂત્રને સાર્થક કરવા પ્રયાસ કરીએ

કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની મોટી ખાવડી કુમાર શાળા ખાતે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરાયું હતું અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.મહાનુભાવોના હસ્તે સ્વચ્છતાકર્મીઓને કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, સ્વચ્છતા અંગેના શપથ લેવાયા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોએ શાળા પરિસરની બહારના ભાગમાં સફાઈ કરીને લોકોને પોતાનું ગામ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ જ સ્વભાવ ના સૂત્રને સાર્થક કરવા આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. તેમણે ગામમાં કચરો ન ફેલાવી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વાહનોમાં કચરો નાખવા અને ઘરમાં પણ ભીનો અને સૂકો કચરો અલગ રાખવા પર ભાર મૂક્યો હતો. આનાથી વાતાવરણ સ્વચ્છ રહેશે અને પ્રદૂષણથી ફેલાતા રોગો અટકાવી શકાશે.કલેકટરે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું છે, જેમાં સૌએ સહભાગી થઈ ભારતને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવું જોઈએ. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની શાલિની દ્વારા સ્વચ્છતા વિશે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેની જાગૃતતા જોઈ કલેકટરે તેણીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ દ્વારા પણ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયતના સદસ્ય વિઠ્ઠલભાઈ કણજારીયા સહિતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ મોરી, તાલુકા વિકાસ અધિકારી એ.બી.જોશી, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:33 pm

જૈન સોશ્યલ ગ્રૂપ સુરેન્દ્રનગર દ્વારા દુર્ગા રાત્રિ 2025નું આયોજન:સિલ્વર પરિવારે સંસ્કૃતિ અને ભક્તિનો મહોત્સવ ઉજવ્યો

જૈન સોશ્યલ ગ્રૂપ સુરેન્દ્રનગર સિલ્વર પરિવાર દ્વારા દુર્ગા રાત્રિ – 2025નું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આ કાર્યક્રમ સંસ્કૃતિ અને ભક્તિના સંગમરૂપે યોજાયો હતો.આ આયોજનમાં ખેલૈયાઓએ માતા દુર્ગાની ભક્તિમાં લીન થઈ પરંપરાગત વેશભૂષામાં ગરબે રમ્યા. સંગીતના સુરો સાથે આધ્યાત્મિકતા અને લોકસંસ્કૃતિના રંગો આ કાર્યક્રમમાં જોવા મળ્યા.કાર્યક્રમમાં સુંદર સજાવટ, સેલ્ફી પોઈન્ટ અને પ્રોફેશનલ ફોટોગ્રાફી જેવા વિશેષ આકર્ષણો પણ ઉપલબ્ધ હતા.દુર્ગા રાત્રિ – 2025 એક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત ભક્તિ, પરંપરા અને સંસ્કૃતિને જોડતા મહોત્સવ તરીકે સફળ રહ્યો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:32 pm

વડોદરામાં વિશ્વકર્મા પૂજન દિવસની ઉજવણી:ખોડીયાર નગરના મંદિરમાં વિશ્વકર્મા સમાજ દ્વારા વિશેષ પૂજા કરાઈ

વડોદરાના ખોડીયાર નગર, ન્યુ કારેલીબાગ સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં ૧૭ સપ્ટેમ્બરના રોજ શ્રી વિશ્વકર્મા પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી વિશ્વકર્મા સમાજ વડોદરા દ્વારા આ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણી અંતર્ગત સવારથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા રામ ચરિત્ર માનસ પાઠ, ભજન-કીર્તન અને શ્રી વિશ્વકર્મા ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા.સાંજે સમાજના તેમજ ખોડીયાર નગર વિસ્તારના ધાર્મિક ભક્તો માટે વિશેષ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લઈને અને શ્રી વિશ્વકર્મા પૂજાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.દર વર્ષે કન્યા સંક્રાંતિના દિવસે ભગવાન વિશ્વકર્મા પૂજન દિવસ ઉજવવામાં આવે છે. કન્યા સંક્રાંતિ એટલે સૂર્યનો સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ. સૂર્યના આ રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે, અને આ દિવસ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઓળખાય છે. ભગવાન વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર માનવામાં આવે છે. તેમના પૂજન દિવસે યંત્ર, સાધનો અને વાહનોની પૂજા કરવામાં આવે છે. મશીનરી, સાધનો, વાહનો વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે આ એક મોટો તહેવાર છે. આ દિવસે કારીગર વર્ગ પોતાનું રોજનું કામ બંધ રાખીને ભક્તિભાવથી પૂજા, હવન અને ભજન દ્વારા વિશેષ પૂજન કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:32 pm

પાટણમાં કોમર્શિયલ ગરબા મહોત્સવની મંજૂરી પેન્ડિંગ:ત્રણ આયોજકોની અરજીઓ પર અધિકારીઓનો અભિપ્રાય હજુ બાકી

નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરી ગરબાની સાથે કોમર્શિયલ ધોરણે યોજાતા નવરાત્રિ મહોત્સવોની પણ તૈયારીઓ ચાલી રહી છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી એક પણ કોમર્શિયલ ગરબા આયોજકને મંજૂરી આપવામાં આવી નથી. આગામી 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શહેરના બજારોમાં ચણીયાચોળી, કેડીયુ, મોજડી અને ટ્રેડિશનલ કપડાં સહિતની નવરાત્રિ સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં પણ આયોજકો દ્વારા ચાચર ચોકને સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પાટણ શહેરમાં કોમર્શિયલ ધોરણે ગરબા મહોત્સવ યોજવા માટે ત્રણ અરજીઓ પ્રાંત કચેરીમાં આવી છે. પટેલ હર્ષ દ્વારા ખોડા ભા હોલ ખાતે 'હેરિટેજ ગરબા' માટે, ભાવેશકુમાર બિપીનચંદ્ર ત્રિવેદી દ્વારા માધવ ફાર્મ ખાતે 'બોલિવૂડ ધમાલ' માટે અને શિવમ જે. પટેલ દ્વારા પાંજરાપોળ મેદાન ખાતે રોટરેક્ટ ક્લબ આયોજિત 'રણકાર ગરબા' માટે મંજૂરી માંગવામાં આવી છે. પ્રાંત અધિકારીની મંજૂરી માટે આવેલી આ અરજીઓ પર વિવિધ વિભાગોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે. જેમાં લાઉડસ્પીકર અને અન્ય વ્યવસ્થા માટે મામલતદાર, કાયદો અને વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ મથકના પીઆઈ, ફાયર સેફ્ટી માટે નગરપાલિકાના ફાયર વિભાગની NOC, તેમજ સ્ટેજ અને સુવિધાઓ માટે RBના મિકેનિકલ અને UGVCL સહિતના સંબંધિત તંત્રના અભિપ્રાયો મેળવવામાં આવશે. પ્રાંત કચેરી દ્વારા જણાવાયું છે કે તમામ વિભાગોના અભિપ્રાયો આવ્યા બાદ જ ગરબાની પરવાનગી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:31 pm

ધાંગધ્રા MLA અને સદસ્ય રજૂઆત છોડી જતા વીડિયો વાયરલ:ચરાડવા ગામમાં બિસ્માર રસ્તા મુદ્દે ગ્રામજનોના રોષનો સામનો કર્યો

ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા પંચાયતના સદસ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ચરાડવા ગામમાં બિસ્માર રસ્તાઓની રજૂઆત દરમિયાન ગ્રામજનોનો રોષ જોઈને સ્થળ છોડી જતા જોવા મળે છે.ચરાડવા ગામમાં સરકારી હોસ્પિટલ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે ગામના જાગૃત નાગરિકોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી.જોકે, સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યએ ગ્રામજનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને તેમના પર ખોટા આક્ષેપો કર્યા હોવાનો આરોપ છે.ગ્રામજનોનો વધતો રોષ જોઈને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યોએ રજૂઆત અધૂરી છોડીને ચાલતી પકડી હતી. લોકોની રજૂઆત સાંભળ્યા વિના જ તેઓ જતા રહેતા સ્થાનિકોમાં વધુ નારાજગી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભાજપના ધારાસભ્યની કામગીરી પર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:30 pm

અમરેલીમાં ડુંગળીના પાકને રોગનો ભરડો:સુકારો અને બાફિયાથી ખેડૂતોને મોટું નુકસાન, બચાવવાના પ્રયાસો નિષ્ફળ

અમરેલી જિલ્લામાં ડુંગળીના પાકને સુકારો અને બાફિયા નામના રોગે ભરડો લીધો છે. છેલ્લા ત્રણ વર્ષથી કપાસ અને મગફળીની સાથે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો આ રોગચાળાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે, જેનાથી તેમને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જિલ્લાના ખેડૂતો પરંપરાગત રીતે કપાસ અને મગફળીનું વાવેતર વધુ કરતા હતા. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ડુંગળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ધીમે ધીમે ડુંગળીના વાવેતર તરફ વળ્યા છે. પરંતુ, આ વર્ષે ડુંગળીના પાકમાં સુકારો અને બાફિયા જેવા રોગોનો પ્રકોપ જોવા મળ્યો છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. વરસાદની મોસમ અને વાતાવરણમાં ભેજનું ઊંચું પ્રમાણ આ રોગો માટે જવાબદાર માનવામાં આવે છે. વહેલી સવારે પડતા ઝાકળને કારણે ડુંગળીના છોડમાં સુકારો અને બાફિયાનો રોગ ફેલાયો છે. સુકારાના કારણે છોડ ધીમે ધીમે સુકાઈ જાય છે. ખેડૂતો પાકને બચાવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ પાક બચવાની શક્યતા ઓછી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.સ્થાનિક ખેડૂત મહેશભાઈએ જણાવ્યું કે, તેમણે 5 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, જેમાં સુકારો અને બાફિયાનો રોગ લાગુ પડ્યો છે. દવાઓ અને ખાતરનો ઉપયોગ કરવા છતાં રોગ નિયંત્રણમાં આવતો નથી. સવારે ઝાકળ અને દિવસના તડકાને કારણે પાંદડા બળી રહ્યા છે અને પાક બચવાની આશા નથી. અન્ય ખેડૂત જયંતિભાઈએ પણ 7 વીઘામાં વાવેતર કરેલી ડુંગળીના પાકમાં સમાન સમસ્યા જણાવી. તેમણે કહ્યું કે, દવાઓ છાંટવા છતાં પાક બચવાની કોઈ શક્યતા નથી, અને સવારના ઝાકળને આનું મુખ્ય કારણ ગણાવ્યું.ખેડૂતોએ મોંઘા બિયારણ, મજૂરી અને દવાઓ પાછળ મોટો ખર્ચ કર્યો છે. જો પાક નિષ્ફળ જશે તો તેમની મહેનત અને રોકાણ એળે જશે તેવી ભીતિ છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:28 pm

છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના ધજાગરાં:એકપણ ફાયર સિસ્ટમ ચાલુ હાલત ન હતી; ફાયર વિભાગે તપાસ કરતાં હોસ્પિટલની બેદરકારી સામે આવી

છોટા ઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તમામ સિસ્ટમ બંધ હાલતમાં મળી આવી છે. ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેના કારણે દર્દીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ફાયર વિભાગે હોસ્પિટલના ICU, સ્ત્રી પ્રસુતિ વિભાગ સહિતના મહત્વના વિસ્તારોમાં ફાયર એલાર્મ સિસ્ટમ અને અન્ય ફાયર સિસ્ટમનું ચેકિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફાયર સિસ્ટમનું લાંબા સમયથી કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી.આ ઉપરાંત, ફાયર એક્સ્ટિંગ્વિશરની બોટલો પણ રિન્યુ કરવાની બાકી હતી. નિરીક્ષણ દરમિયાન એ પણ જણાઈ આવ્યું કે હોસ્પિટલમાં ફાયર એક્ઝિટના સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા ન હતા. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, હાલમાં જનરલ હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માત બને તો એકપણ ફાયર સિસ્ટમ કાર્યરત નથી. આ સ્થિતિ હોસ્પિટલની ફાયર સેફ્ટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે અને દર્દીઓની સુરક્ષા જોખમમાં મૂકે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:27 pm

આમોદ-કરજણ રોડ પર બાઈક-કાર અકસ્માત:બાઈક સવાર ઘાયલ, સદભાગ્યે મોટી જાનહાનિ ટળી

આમોદ–કરજણ રોડ પર જીઇબી કચેરી સામે આજે બપોરે બાઈક અને ફોરવીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવારને ગંભીર ઈજા થતાં તાત્કાલિક આમોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી છે. મળતી માહિતી અનુસાર, આમોદ–ભીમ્પુડા રોડના ટર્નિંગ પાસેથી થોડા અંતરે આ અકસ્માત થયો હતો. ટર્નિંગ પર બાઈક તથા કાર ચાલક વચ્ચે હું પહેલા નીકળી જાઉં તેવા ગેરસમજના કારણે ટક્કર સર્જાઈ હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અકસ્માત ટાળવા માટે કાર ચાલકે ગાડી ગટર તરફ દોરી જતા ફોરવીલ રસ્તા બાજુ ઉતરી પડી હતી. જેના કારણે સ્થળ પર દુર્ઘટનાગ્રસ્ત દૃશ્ય ઉભું થયું હતું.અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. આમોદ પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી તથા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:27 pm

નવસારીમાં સતત બીજા દિવસે વરસાદ:નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી, ખેલૈયાઓની મજા બગડવાની સંભાવના

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પવન સાથે વરસેલા વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદના કારણે બાગાયતી વિસ્તારમાં ચીકુ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વરસાદે આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, નવરાત્રી દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે. જોકે, ઇન્ડોર નવરાત્રીના આયોજકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:26 pm

અણદાભાઈ પટેલે બનાસડેરી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી:થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન છે

બનાસડેરીની ચૂંટણીને લઈને અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. તેમણે કાંકરેજના શિહોરી મામલતદાર કચેરીએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. અણદાભાઈ પટેલ થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન તરીકે જાણીતા છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરાશે. ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધી પોતાના ફોર્મ રજૂ કરી શકશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અણદાભાઈ પટેલે જણાવ્યું કે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પક્ષના અનુશાસનમાં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું છે. તેમણે ઉમેર્યું કે તેઓ વર્ષોથી ભાજપનું કામ કરી રહ્યા છે અને કરતા રહેશે. તેમણે બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ઘણા વર્ષોથી કામ કર્યું છે અને પશુપાલકો માટે પ્રયત્નો કર્યા છે. તેમણે પશ્ચિમ વિસ્તારમાં બનાસ ડેરીનું સંકુલ બને તેવી રજૂઆત કરી હતી, જેના પરિણામે સણાદર ખાતે મોટો ડેરી પ્લાન્ટ સ્થપાયો અને અનેક લોકોને રોજગારીની તકો મળી. તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ રીતે કામ કરતા રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:26 pm

નખત્રાણા હાઇવે પર મોટા વાહનોનો પ્રવેશ:કલેક્ટરના જાહેરનામાનો ભંગ, પદયાત્રીઓની સલામતી જોખમમાં

નખત્રાણા હાઇવે પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે પદયાત્રીઓની સલામતી જોખમમાં મુકાઈ છે.માતાના મઢ તરફ પદયાત્રીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં, કંપનીઓના મોટા વાહનો અને તોતિંગ આઈવા જેવા ભારે વાહનો હાઇવે પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ વાહનો અકસ્માતનું કારણ બની શકે છે.સ્થાનિક લોકો દ્વારા જાહેરનામાની કડક અમલવારી કરવાની માંગ ઉઠી છે. જિલ્લા પોલીસે વિવિધ વળાંકવાળા વિસ્તારોમાં બેરિકેડ લગાવીને આવા મોટા વાહનોને રોકવા જોઈએ, જેથી યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:25 pm

મોટરસાયકલ ચોર ટોળકી ઝડપાઈ:જામજોધપુર પોલીસે લાખોના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડ્યા

જામજોધપુર પોલીસે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોટરસાયકલ ચોરી કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. આ ઓપરેશનમાં લાખો રૂપિયાના ચોરાયેલા મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાના અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાલાલપુરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એસ. રબારીએ તેમના સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે, પોલીસે જામજોધપુર નજીક ગાય સર્કલ પાસે કોર્ડન ગોઠવી હતી. આરોપીઓ વિજય ઉર્ફે ડીગ્રી કાનજીભાઈ વિરજીભાઈ સાડમીયા, અને રામકુ ઉર્ફે રામકો કાળુભાઈ વાઘેલાને ચોરાયેલી મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. તેઓ પાટણ જંગલ વિસ્તારમાંથી જામજોધપુર તરફ જઈ રહ્યા હતા. વધુ તપાસમાં બહાર આવ્યું કે, આ બંને આરોપીઓ અને તેમના અન્ય સાથીદારો મોરબી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં બાઇક ચોરી, લૂંટ, ધાડ, અપહરણ અને પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા. પોલીસે કુલ 4 વણશોધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાઓ ઉકેલ્યા છે. વિવિધ સ્થળોએથી ઝાડી-ઝાંખરા અને પાણીના વોકળામાંથી કુલ રૂ. 1,15,000 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ઉકેલાયેલા ગુનાઓમાં જામજોધપુર, જસદણ, મોરબી સિટી એ ડિવિઝન અને ભેસાણનો સમાવેશ થાય છે. આરોપીઓની ગુનો કરવાની પદ્ધતિ (MO) એવી હતી કે, તેઓ મજૂરી કામના બહાને બળદગાડા અને બકરા સાથે ગામડાઓમાં પડાવ નાખતા હતા. આસપાસના ગામોમાં રેકી કરીને મોટરસાયકલ ચોરી કરતા અને તેને જંગલ વિસ્તાર, ઝાડી-ઝાંખરા અથવા પાણીના વોકળામાં સંતાડી દેતા હતા. દસથી પંદર દિવસ પછી, તેઓ ચોરાયેલો મુદ્દામાલ કાઢીને વેચી દેતા હતા. આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ:-હિરો કંપનીનું કાળા કલરનું સ્પલેન્ડર મો.સા, હિરો હોન્ડા કંપનીનું કાળા કલરનું સી.ડી.ડીલક્ષ, હિરો કંપનીનું કાળા કલરનું સ્પલેન્ડર મો.સા., હિરો કંપનીનુ કાળા તથા લાલ કલરનુ પેશન પકડાયેલ આરોપીવિજયભાઇ ઉર્ફે ડીગ્રી કાનજીભાઈ વિરજીભાઈ સાડમીયા ઉ.વ.22 ધંધો મજુરી હાલ રહે. શિવરાજપુર તા.જસદણ જી.રાજકોટ મુળ રહે. ખારસીયા ગામ તા.ગોંડલ જી.રાજકોટરામકુ ઉર્ફે રામકો કાળુભાઇ વાઘેલા ઉ.વ.20 ધંધો મજુરી રહે. સનાળી ગામ તા.વડીયા જી.અમરેલી પકડવાના બાકી આરોપીઓ:-અક્ષય ઉર્ફે બુઢીયો ઉર્ફે કાજુ કાળુભાઇ વાઘેલા ધંધો મજુરી રહે. સનાળી ગામ તા.વડીયા જી.અમરેલી, રોહીત કવુભાઇ જખાણીયા રહે. ઢેઢુકી ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:17 pm

દાહોદમાં જજ બની ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ:બનાસકાંઠાનો યુવક સુરતથી ઝડપાયો, 10 દિવસના રિમાન્ડ મંજૂર

દાહોદ જિલ્લાના ડોકી ખાતે એક યુવકે પોતાને જજ તરીકે ઓળખાવી પેટ્રોલ પંપના માલિકને ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 12 સપ્ટેમ્બરના રોજ બની હતી. પોલીસે ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સના આધારે બનાસકાંઠાના અલ્પેશ ગલ્ચરને સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. દાહોદની કોર્ટે આરોપીના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઘટનાની વિગતો મુજબ, 12 સપ્ટેમ્બરે અલ્પેશ ગલ્ચર ડોકીના એક પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. તેણે પોતાને વાઘેલા જજ તરીકે રજૂ કર્યો અને પંપના માલિક વિશે પૂછપરછ કરી. તેણે માલિકનો કેસ પોતાના હાથમાં હોવાનો અને ફાયદો કરાવી આપવાનો દાવો કરીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.પેટ્રોલ પંપના કર્મચારીઓએ સતર્કતા દાખવી માલિકને જાણ કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ જજ નહોતો. આથી, દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની ઓળખ બનાસકાંઠાના આસારાવાસ ગામના અલ્પેશ ગલ્ચર તરીકે કરી. તે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયેલો હતો, જ્યાંથી દાહોદ પોલીસે તેની ધરપકડ કરી.પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અલ્પેશના મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસમાં સામે આવ્યું કે તેણે અગાઉ પણ અનેક લોકોને વકીલ કે સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી. તે લોકોને પોતાની વાતોમાં ફસાવી, વિશ્વાસ જીતીને ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરતો હતો.આરોપીને દાહોદની કોર્ટમાં રજૂ કરાતાં તેના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં અલ્પેશે અગાઉ કઈ-કઈ જગ્યાએ અને કયા ગેરલાભ મેળવ્યા તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:15 pm

અમરેલીમાં યુવતી પર હુમલો કરનારા બન્ને આરોપીનું રિકન્સ્ટ્રક્શન:પ્રેમી-મિત્રને દોરડાથી બાંધી ઘટનાસ્થળે લઈ જવાયા, પોલીસે જાહેરમાં માફી મગાવી, હથિયાર કબજે કર્યું

અમરેલી શહેરમાં બે દિવસ પૂર્વે ભાવકા ભવાની મંદિરમાં એક યુવતી પર જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓનું પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન-પંચનામું કર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને દોરડાથી બાંધી ઘટના સ્થળે લઈ જવાયા હતા. સ્થળ પર લઈ જઈ કેવી રીતે ગુનો આચર્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. તેમજ પોલીસે જાહેરમાં માફી મંગાવી હતી. યુવતીના ગળા પર છરી વડે હુમલો કર્યોઆ ઘટના બે દિવસ પહેલા સાંજે બની હતી, જેમાં 24 વર્ષીય યુવતીના ગળા પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ગંભીર હાલતમાં યુવતીને તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સ્થિતિ સ્થિર છે. હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયોઆ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં યુવતીની માતાએ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે અમરેલીના રહેંવાસી આરોપીઓ વિપુલ જાદવભાઈ ધૂંધળવા અને આકાશ મહેન્દ્રભાઈ આવટને ઝડપી પાડ્યા હતા. યુવતીની સગાઈ થતાં યુવકે ગુસ્સામાં હુમલો કર્યોપોલીસ તપાસમાં હુમલા પાછળ પ્રેમસંબંધ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતાં પ્રેમી વિપુલ ધૂંધળવા નારાજ થયો હતો. એક મહિના પહેલા જ યુવતીની સગાઈ થઈ હોવા છતાં વિપુલ યુવતીનો પીછો કરતો હતો. યુવતીએ મોબાઈલ પર વાત કરવાનું બંધ કરી દેતા પ્રેમી ગુસ્સે ભરાયો હતો. આખરે તેણે મિત્ર આકાશ સાથે મળી છરી વડે યુવતીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. રિકન્સ્ટ્રક્શન અને રિકવર પંચનામું કરાયુંઆજે પ્રેમી સહિત બંને આરોપીને દોરડાથી બાંધીને જે સ્થળે ઘટના બની હતી ત્યા લઈ જવામાં આવ્યા હતા. ઘટના કેવી રીતે બની છે તે માટે રિકન્સ્ટ્રક્શન અને રિકવર પંચનામું પોલીસે કર્યું છે. પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવી શકાય. આ કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી સીમકાર્ડની પોલીસે શોધખોળ શરૂ કરીઆ ઉપરાંત આરોપીઓ દ્વારા ગુનો કર્યો તે સમયે મોબાઈલના સીમકાર્ડ ફેંકી દીધા હતા, તે સીમકાર્ડની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. ઇન્ચાર્જ SP જયવીર ગઢવીની દેખરેખ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.વિજય કોલાદ્રા, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ.આર.ડી.ચૌધરી,સીટી પી.આઈ.ડી.કે.વાઘેલા સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓના ચુસ્તબંદોબસ્ત સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરાશેઇન્ચાર્જ SP જયવીર ગઢવીએ જણાવ્યું કે, અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના કેસમા આજે આરોપીનું રિકન્સ્ટ્રક્શન અને રિકવરી પંચનામું કરવામા આવ્યું હતું. આરોપી દ્વારા જે હથિયારનો ઉપયોગ કરાયો હતો તે પુરાવા માટે કબજે કરવામાં આવ્યું છે. બંને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:11 pm

દ્વારકા આશા વર્કરોની માંગણીઓ:પ્રાંત અધિકારીએ આવેદનપત્ર ન સ્વીકારતા તાલુકા હેલ્થ ઓફિસમાં રામધૂન

દ્વારકા તાલુકાના આશા વર્કરોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે પ્રાંત અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરતા આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રામધૂન બોલાવી હતી. આશા વર્કરોનો મુખ્ય આરોપ છે કે ઓનલાઈન કામગીરીનું ભારણ વધતા તેમનું કામ વેતન કરતાં બમણું થઈ ગયું છે. તેઓને વધેલા કામના બોજ સામે પૂરતું વળતર મળતું નથી. આ મુદ્દે તેઓ લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર થતા આશા વર્કરોએ પોતાનો વિરોધ વધુ અસરકારક બનાવવા માટે રામધૂનનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમનું આવેદનપત્ર સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ રામધૂન ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:05 pm

મીઠાપુરમાં યુવકનું અપહરણ કરનાર 5 આરોપીઓ ઝડપાયા:પોલીસે ગણતરીના કલાકોમાં યુવકને છોડાવ્યો, પૈસાની લેતી-દેતીમાં અપહરણ કર્યાનું ખુલ્યું

દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાંથી એક યુવકનું અપહરણ થયાના ગણતરીના કલાકોમાં જ મીઠાપુર પોલીસે તેને સહીસલામત છોડાવી લીધો છે. આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં આશાપુરા ટોકીઝ પાસે સાંજના સમયે ફરિયાદી જીગર પંડ્યા પોતાના ભાઈની ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન આરોપીઓએ તેમને દુકાન બહાર બોલાવી, આયોજનપૂર્વક બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું. અપહરણની જાણ થતાં જ મીઠાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનારને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલ મોટરસાયકલ કિશનભા ભાવુભા માણેકની મેવાસા ગામ પાસે આવેલી વાડીમાં હોવાનું જાણવા મળ્યું હતું. મીઠાપુર પોલીસે તે વાડીમાં તપાસ કરતા જીગર પંડ્યા સહીસલામત મળી આવ્યા હતા. પોલીસે અપહરણકર્તાઓના કબજામાંથી તેમને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા અને પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ જીગરના ભાઈને ફોન કરીને ધમકી આપી હતી કે જો વ્યાજે આપેલા પૈસા પાછા નહીં મળે તો જીગર જીવતો ઘરે નહીં આવે. જીગર પંડ્યાએ જણાવ્યું હતું કે તેમણે વ્યાજ સહિતના રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેમની પાસેથી ઊંચા વ્યાજે પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ એટ્રોસિટી જેવા ગુનાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.ઝડપાયેલા આરોપીઓમાં કિશનભા ભાવુભા માણેક (ઉ.વ.24), મેહુલભાઇ ઉર્ફે ભુરો કમલેશભાઇ પરમાર (ઉ.વ.19), કરણભા જેઠાભા કારા (ઉ.વ.19), ઉમેશભા અજુલા માણેક (ઉ.વ.21) અને કનૈયાલાઇ ઉર્ફે કાનો સામરાભાઇ હાથીયા (ઉ.વ.25) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:04 pm

PM મોદી 20 સપ્ટેમ્બરે લોથલની મુલાકાત લેશે:4500 કરોડના ખર્ચે તૈયાર થતાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ સાકાર કરશે‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે. આધુનિક ટેક્નોલોજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે. હેરિટેજ કૉમ્પ્લેક્સના કારણે હજારો લોકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશેઆ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે તેમજ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે. ‘આત્મનિર્ભર ભારત’ વિઝન થશે સાકાર, મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમને મળશે પ્રોત્સાહનઅત્રે ઉલ્લેખનીય છે કે, લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે. જેમાં અત્યંત આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે. આ સાથે આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવીને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરે છે. વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ આ કૉમ્પ્લેક્સમાં બનશેનેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિકઆ લાઇટહાઉસ મ્યુઝિયમ 77 મીટરનું હશે જેમાં 65 મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. 100 રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. 500 ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ ઉપરાંત 66 કે.વીનું સબસ્ટેશન પણ કાર્યરત થઇ ગયું છે. સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ જોવા મળશેઆ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશેસૌથી અગત્યની વાત એ પણ છે કે, નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરીટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. આ સાથે-સાથે દુનિયાની સૌથી મોટી અંડર વૉટર થીમિંગ ઓપન ગેલેરી પણ આ જ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક ભવ્ય મેરિટીઇમ ઇતિહાસમાંથી પસાર કરશે અને તેમને એક વિશ્વસ્તરીય મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:03 pm

પોરબંદરમાં વ્યાજખોરીની ફરિયાદ, યુવાને ડેમમાં ઝંપલાવી આપઘાત:રાણાબોરડીના સરપંચ સહિત બે સામે ગુનો, હદપારી ભંગનો કેસ

પોરબંદરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાણાબોરડીના મૂળ નિવાસી અને હાલ રાજકોટ રહેતા રસિક નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી ૨૦ હજાર રૂપિયા ૩ ટકાના વ્યાજે લીધા હતા. આ વ્યાજખોરીમાં સાંગાભાઈ અને તેમના ભાઈ પરબત જીવા મોરીએ તા. ૧૬-૦૩-૨૦૦૬ થી ૧૬-૦૬-૨૦૧૯ સુધીના ૨૦,૦૦૦ રૂપિયાના ૨૪,૨૧,૪૯૭ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ રસિકભાઈને ગાળો આપી દબાણ કર્યું હતું અને બળજબરીપૂર્વક ૧૨ લાખ રૂપિયા કઢાવી લીધા હતા. આ મામલે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક ઘટનામાં, પોરબંદરના એક શખ્સ સામે હદપારી ભંગનો ગુનો નોંધાયો છે. ખારવાવાડમાં રહેતા કલ્પેશ ઉર્ફે કપુ જીતુભાઈ જુંગીને તા. ૨૮-૦૮-૨૦૨૫ થી ત્રણ માસ માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હતો. હદપારીનો આદેશ હોવા છતાં, કલ્પેશ પોરબંદરમાં જ આટાફેરા કરતો જોવા મળ્યો હતો. કીર્તિમંદિર પોલીસે તેને ઝડપી પાડી હદપારી ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણખીરસરા ગામે એક યુવાને ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ગમગીની છવાઈ ગઈ છે. રાણખીરસરા ગામના ૨૦ વર્ષીય રવિ ભરત સાદીયા નામના યુવાનને મજૂરી કામમાં મન ન લાગતું હોવાથી તેણે રાણખીરસરા ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે રાણાવાવ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 2:57 pm

હુડાના CEOની અપીલ: વિકાસ યોજના અંગે ગેરસમજ ટાળો:જમીન કપાત અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા સ્પષ્ટતા કરી

હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ (HUDA) દ્વારા તૈયાર કરવામાં આવેલી સૂચિત વિકાસ યોજના અંગે પ્રવર્તી રહેલી ગેરસમજોને દૂર કરવા માટે મુખ્ય કારોબારી અધિકારી ક્રિષ્ના વાઘેલાએ જનતાને અપીલ કરી છે. તેમણે ખાસ કરીને જમીન કપાત અંગેની ખોટી માન્યતાઓ પર સ્પષ્ટતા કરી હતી. વાઘેલાએ જણાવ્યું હતું કે, એવી માન્યતા ફેલાઈ રહી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે જમીનની સંપૂર્ણ કપાત થઈ જશે, જે સત્યથી વેગળી છે. નગરરચના યોજના હેઠળ, માળખાકીય સુવિધાઓ માટે આવરી લેવાયેલી જમીનોના મૂળ માલિકોને નિયમોનુસાર સુવ્યવસ્થિત ફાઇનલ પ્લોટ આપવામાં આવે છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે આ પ્રક્રિયાથી જમીનના મૂલ્યમાં અનેકગણો વધારો થાય છે, જેથી આ યોજના ખેડૂતો અને જમીનમાલિકોના હિતોનું રક્ષણ કરે છે.મુખ્ય કારોબારી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતને શહેરી વિકાસમાં રોલ મોડેલ રાજ્ય બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ યોજના GTPCL જેવી પ્રતિષ્ઠિત એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેમાં વ્યાપક જાહેર પરામર્શનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન, હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, અને હુડામાં સમાવિષ્ટ ૧૧ ગ્રામ પંચાયતોના સરપંચો જેવા પદાધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ક્રેડાઈ, ડોક્ટર્સ, બિલ્ડર્સ, વેપારીઓ, એડવોકેટ અને એન્જિનિયર-આર્કિટેક્ટ જેવા વિવિધ જૂથોના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનો પાસેથી પણ મૂલ્યવાન મંતવ્યો મેળવીને એક સર્વસમાવેશક ડ્રાફ્ટ પ્લાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ સૂચિત વિકાસ યોજનાનું નોટિફિકેશન ૦૮.૦૯.૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આગામી બે મહિના સુધી જાહેર જનતા આ યોજના પર પોતાના સૂચનો અને વાંધા રજૂ કરી શકે છે. અત્યાર સુધીમાં, આશરે ૩૫ જેટલી રજૂઆતો પ્રાપ્ત થઈ છે અને હુડા વધુ પ્રતિભાવોને આવકારે છે. આ યોજનામાં દર્શાવેલ રોડ-રસ્તાઓનું નિર્માણ જરૂરિયાત મુજબ તબક્કાવાર કરવામાં આવશે. ભૂતકાળનો ઇતિહાસ દર્શાવે છે કે શહેરી વિકાસ સત્તામંડળની રચના બાદ ગાંધીનગર (GUDA) જેવા શહેરોએ ઝડપી વિકાસ સાધ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ હિંમતનગરના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. હુડા સૌને આ વિકાસ પ્રક્રિયામાં સચોટ માહિતીના આધારે સહભાગી થવા વિનંતી કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 2:40 pm

હિંમતનગરમાં 60 કરાટે ખેલાડીઓનો સેમિનાર પૂર્ણ:રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાના મેડાલિસ્ટોને એડવાન્સ કુમિતે તાલીમ અપાઈ

હિંમતનગરમાં ત્રણ દિવસીય એડવાન્સ કરાટે કુમિતે તાલીમ સેમિનાર સંપન્ન થયો છે. આ સેમિનારમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 60 મેડાલિસ્ટ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમને આંતરરાષ્ટ્રીય ખેલાડી પ્રણય શર્મા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. સેકો કાઈ કરાટે ઇન્ટરનેશનલ ઇન્ડિયા (ગુજરાત) ના હેડ કોચ જુજારસિંહ કે. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું કે, આ સેમિનારનું આયોજન 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી ઉમિયા સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ 60 ખેલાડીઓએ આ તાલીમનો લાભ લીધો હતો. તેમને WKF સીરીઝ ગોલ્ડ મેડાલિસ્ટ, વર્લ્ડ કોમ્બેટ ગેમ્સ મેડાલિસ્ટ, સાઉથ એશિયન ગોલ્ડ મેડાલિસ્ટ, ખેલો ઇન્ડિયા ગોલ્ડ મેડાલિસ્ટ, કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ અને નેશનલ કરાટે ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ તેમજ નેશનલ કરાટે ટીમના કેપ્ટન પ્રણય શર્મા દ્વારા એડવાન્સ કુમિતેની તાલીમ અપાઈ હતી. ગોલ્ડ મેડાલિસ્ટ પ્રણય શર્માએ ખેલાડીઓને નવી ટેકનિક્સ, કરાટેમાં થઈ રહેલા ફેરફારો, સ્પોર્ટ્સ કરાટે અને ટ્રેડિશનલ કરાટે વચ્ચેનો તફાવત, એક પ્રોફેશનલ ખેલાડી તરીકે જીવનશૈલી અને આહાર અંગેની જાણકારી તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. આ ત્રણ દિવસીય તાલીમ સેમિનારનું બુધવારે મોડી સાંજે સમાપન થયું હતું. આશા છે કે આ તાલીમથી ખેલાડીઓ ભવિષ્યમાં હિંમતનગર, ગુજરાત અને ભારતનું નામ રોશન કરશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 2:14 pm

કૈલાશ ખેરના સોંગ પર સફાઈકર્મી સ્ટેડિયમની રેલિંગ પર લટકી ગયો:લોકોએ માંડ માંડ બચાવ્યો, સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમમાં સફાઈકર્મીઓને બિરદાવવા કાર્યક્રમ યોજાયો હતો

સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં સ્થાન અપાવનાર સુરતના 6000 સમર્પિત સફાઈકર્મીઓને બિરદાવવા અને તેમના આર્થિક, સામાજિક કલ્યાણ માટે વેલ્ફેર ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અઠવાલાઈન્સ ખાતે આવેલા ઈનડોર સ્ટેડિયમમાં સફાઈકર્મીઓને બિરદાવા માટે સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે લાઈવ ઇન કોન્સર્ટ દ્વારા સુમધુર ગીતોથી સુરતવાસીઓને ડોલાવ્યા હતા. સફાઈ કર્મચારીઓ ઇન્ડો સ્ટેડિયમની અંદર ડાન્સ કરતા ઠેર ઠેર જોવા મળી રહ્યા હતા. કૈલાશ ખેર દ્વારા સ્ટેજ પરથી તેરે ઇશ્ક મે મર જાવું સોંગ ગાવાનું શરૂ કર્યું હતું. ઇશ્ક કા જાદુ સર પર ચડકે બોલે એવું ગીત શરૂ કરતાની સાથે જ એક સફાઈ કર્મચારી પહેલા મળે રેલિંગ પરથી નીચે લટકી ગયો હતો. આ સાથે ડાન્સ પણ કરવા લાગ્યો હતો. અંગેની જાણ થતા અન્ય સફાઈ કર્મચારીઓ સહિતના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ આ સફાઈ કર્મચારીને ઉપર ખેંચી લીધો હતો. મોજમાં આવેલો સફાઈકર્મી સ્ટેડિયમની રેલિંગ પર લટકી ગયોએક સફાઈ કર્મચારી એટલો મોજમાં આવી ગયો હતો કે ટ્રેનિંગ પર એક હાથ પકડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ આઉટ ની બાજુમાં જ ગીત સાથે ડાન્સ કરવા લાગ્યો હતો. જ્યારે તેને ઉપર ખેંચવામાં આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીનું કટ આઉટ તૂટી ગયું હતું અને નીચે પડી ગયું હતું. આ ઘટના બાદ સફાઈ કર્મચારીને ઇન્ડોર સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો હતો. સુરતને સમગ્ર દેશમાં સ્વચ્છતામાં નંબર-1 બનાવનાર સફાઇ કર્મચારીઓ માટે ફંડ એકઠું કરવા બુધવારે ઈન્ડોર કૈલાશ ખેરનો કાર્યક્રમ હતો, જેમાં 10 કરોડ રૂપિયા ભેગા થયા હતા. કાર્યક્રમમાં 6000થી વધુ સફાઇકર્મીઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું. કૈલાશ ખેર ના લાઇવ પરફોર્મન્સ પર સ્ટેડિયમ ની અંદર હાજર રહેલા સફાઈ કર્મચારીઓ ઠેર ઠેર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમ થકી સફાઈકર્મીઓ માટે રૂ.10 કરોડનું આર્થિક ભંડોળ ઊભું કરવાનું આયોજન કરાયું છે. સંચાલન માટે સુરત મનપા દ્વારા સફાઈ યોદ્ધા વેલફેર ફંડની રચના કરવામાં આવી છે. આ ફંડમાં કોઇ પણ શહેરીજન પોતાનું યોગદાન આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:52 pm

લગ્નના ઇરાદે યુવક સાથે રહેવા આવેલી યુવતી પસ્તાઈ:ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલા યુવક સાથે ત્રણ મહિના રહ્યા બાદ ઝઘડાથી કંટાળી માતા-પિતા પાસે પાછા ફરવા ઈચ્છા વ્યક્ત કરી

છોટાઉદેપુર જિલ્લાની એક યુવતી ઇન્સ્ટાગ્રામ મારફતે આંકલાવના યુવકના સંપર્કમાં આવી હતી. લગ્નના ઇરાદે તે યુવક સાથે રહેવા ગઈ હતી, પરંતુ ત્રણ મહિના સુધી સાથે રહ્યા બાદ યુવકની બેરોજગારી અને સતત ઝઘડાથી કંટાળીને યુવતીએ તેના માતા-પિતા પાસે પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલ આ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના એક ગામની યુવતી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી ત્યારે તેના માતા-પિતાએ તેને મોબાઈલ ફોન આપ્યો હતો. યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી હતી અને ત્યાં તે આંકલાવના યુવકના સંપર્કમાં આવી હતી. વાતચીત દરમિયાન યુવકે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતી પહેલીવાર વડોદરામાં મિત્રના ઘેર જવાનું બહાનું કાઢીને આંકલાવ પહોંચી હતી અને યુવકને મળી હતી. તેઓએ લગ્ન માટે વકીલનો સંપર્ક કર્યો હતો, પરંતુ સાક્ષી ન મળતા લગ્ન થઈ શક્યા ન હતા. આથી, બંને લગ્ન કર્યા વિના લગભગ ત્રણ મહિના સુધી સાથે રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, યુવક કોઈ કામધંધો કરતો ન હોવાથી અને અવારનવાર ઝઘડા કરતો હોવાથી યુવતી કંટાળી ગઈ હતી. એક વખત છોટાઉદેપુરથી પાછા ફરવા મુદ્દે પણ ઝઘડો થયો હતો. આખરે, યુવતીએ યુવક સાથે ન રહેવાનો નિર્ણય કર્યો. યુવતી એક વકીલની ઓફિસે પહોંચી હતી, જ્યાંથી મહિલા હેલ્પલાઇન 181 અભયમની ટીમને જાણ કરવામાં આવી હતી. અભયમ ટીમે સ્થળ પર પહોંચીને યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તે હવે યુવક સાથે રહેવા માંગતી નથી અને તેના માતા-પિતા પાસે પાછા ફરવા ઈચ્છે છે. યુવતી અન્ય જિલ્લાની હોવાથી અને તાત્કાલિક આશ્રયની જરૂર હોવાથી તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:50 pm

ગોવામાં પીએમ મોદીના 75મા જન્મદિવસની અનોખી ઉજવણી:50 ગુજરાતી કલાકારોની કલાકૃતિઓનું ત્રણ દિવસ પ્રદર્શન, સીએમ સાવંતે કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ગુજરાતના કલાકારો દ્વારા ગોવા ખાતે એક અનોખા કલાકૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. AAA ગ્રુપના અજયસિંહ ચૌહાણ, ડોક્ટર અજયસિંહ જાડેજા, અને ડોક્ટર અશોકભાઈ પટેલ દ્વારા આયોજિત આ પ્રદર્શન ગોવાની પ્રતિષ્ઠિત કલા અકાદમી આર્ટ ગેલેરીમાં 17, 18 અને 19 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ચાલશે. 50 કલાકારોની 100થી વધુ કલાકૃતિઓ અને તસવીરોનું પ્રદર્શનઆ પ્રદર્શનનું ઉદ્ઘાટન 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ગોવાના મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતના હસ્તે ગોવામાં પણજી ખાતે આવેલી કલા અકાદમી આર્ટ ગેલેરીમાં કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ગુજરાતના લગભગ 50 કલાકારો અને ફોટોગ્રાફરો દ્વારા બનાવવામાં આવેલી 100થી વધુ કલાકૃતિઓ અને તસવીરો રજૂ કરવામાં આવી રહી છે. અમદાવાદના 15થી વધુ અને ભાવનગરના 10થી વધુ કલાકારોઆ પ્રદર્શનમાં અમદાવાદના 15થી વધુ અને ભાવનગરના 10થી વધુ કલાકારો સહિત રાજકોટ, જૂનાગઢ, વડોદરા, સુરત, વાપી, મુંબઈ, સુરેન્દ્રનગર અને જામનગરના કલાકારો પણ ભાગ લેશે. આ કલાકારોએ વિવિધ માધ્યમો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વડાપ્રધાનની છબીઓને અલગ-અલગ સ્વરૂપમાં રજૂ કરી છે. આ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમના જીવનની સફરને કલાત્મક રીતે રજૂ કરવાનો એક સુંદર પ્રયાસ છે. આ પ્રદર્શન કલાપ્રેમીઓ માટે એક અદ્ભુત તક છે કે તેઓ આ કલાકૃતિઓ દ્વારા પ્રેરણા મેળવી શકે. ભાગ લીધેલા કલાકારોના નામ અમદાવાદ ભાવનગર અન્ય શહેરોના કલાકારો

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:38 pm

ઓછા વૃક્ષો ત્યાં વધુ વૃક્ષારોપણ:સાબરમતી જેલ પાસે AMC ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી દ્વારા વૃક્ષારોપણ

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં આજે 18 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાબરમતી જેલના ઓપન ગ્રાઉન્ડ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે. આ પ્લોટની જગ્યામાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાબરમતી વિધાનસભાના રાણીપવોર્ડમાં ખૂબ ઓછા વૃક્ષો હોવાને લઈને વૃક્ષારોપણ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભાજપના પદાધિકારીઓ-નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાસાબરમતી નવી જેલ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે, જેમાં અંદાજે 1,000થી વધારે વૃક્ષો વાવી શકાય તેમ હોવાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા આજે વૃક્ષારોપણ રાખવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે અલગ-અલગ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ વૃક્ષોનું યોગ્ય રીતે જતન કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાન ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ, મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના પદાધિકારીઓ અને નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના 75 વર્ષને લઈ 75 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યાઃ દેવાંગ દાણીસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત 40 લાખથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા છે. વૃક્ષો રોપવામાં આવે છે, જેના કારણે ઓક્સિજનના પ્રમાણમાં વધારો થાય છે. ત્યારે આજે અમદાવાદના સાબરમતી વિધાનસભામાં રાણીપ વોર્ડમાં સાબરમતી જેલની બાજુમાં આવેલા ચંદ્રભાગાના નાળા નજીકના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાશિ અને નક્ષત્ર આધારિત તેમ જ વિવિધ ધાર્મિક સંસ્થાઓના જે મહત્વ ધરાવે છે, તેને અનુરૂપ વૃક્ષોનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના 75 વર્ષને લઈ 75 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:33 pm

માતાના મઢમાં આસો નવરાત્રિ પૂર્વે રોશનીનો શણગાર:મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારાયું, યાત્રિકોનું આગમન વધ્યું

કચ્છના સરહદી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં આસો નવરાત્રિની ભક્તિભાવ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. નવરાત્રિ પૂર્વે જ મા આશાપુરા માતાજીના મંદિર અને તેના પરિસરને રંગબેરંગી લાઈટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. શ્રાદ્ધના દિવસોથી જ અહીં યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે. આજે વહેલી સવારથી જ માતાના મઢમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. આ ઉપરાંત, માતાના મઢ ગ્રામ પંચાયત દ્વારા ધંધાર્થીઓ માટેના પ્લોટોની ફાળવણીનું કાર્ય પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા નવરાત્રિ દરમિયાન વેપારીઓને સુવિધા પૂરી પાડશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:22 pm

ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલાયા:ઉપરવાસમાંથી 1.12 લાખ ક્યુસેક પાણીની આવક: તાપી નદીમાં પાણી છોડાયું

ઉકાઈ ડેમના આઠ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી 1 લાખ 12 હજાર 778 ક્યુસેક પાણીની ભારે આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા આ નિર્ણય લેવાયો છે.હાલ ડેમની સપાટી 342.37 ફૂટ પર પહોંચી છે. ડેમમાંથી 77 હજાર 855 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક અને જાવક સરખી રાખવા માટે હાઇડ્રો મારફતે પાણી છોડવામાં આવે છે, જેથી ડેમનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરી શકાય. સતત વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધી રહી હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે. તાપી નદીના કાંઠે આવેલા ગામોને અગાઉથી સૂચના આપી સાવચેત કરવામાં આવ્યા છે. લોકોને નદી કિનારા નજીક ન જવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. ડેમની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચેતી વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. તાલુકા અને જિલ્લાની પ્રશાસકીય ટીમ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:16 pm

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ફરી વિવાદમાં:કચેરી ટ્રાન્સફરમાં લાખોનાં કૌભાંડ બાદ ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થયા, 1-2 વર્ષ જુના એક્સપાયર થયેલા બાટલાઓ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ફરી વિવાદમાં આવી છે. તાજેતરમાં કચેરી ટ્રાન્સફરમાં લાખોનું કૌભાંડ થયાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કમિટી રચવામાં આવી છે. ત્યારે હવે કચેરીમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે જિલ્લા પંચાયતમાં આગની ઘટના બને તો કર્મચારીઓ અને અધિકારીઓની જીંદગી પણ રામ ભરોસે હોય તેવો માહોલ છે. ફાયર સેફટીના અનેક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. તો 1-2 વર્ષ જુના એક્સપાયર થયેલા બાટલાઓ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. જેને લઈને ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જોકે ડીડીઓ દ્વારા આ મામલે પણ તપાસ કરી તાત્કાલિક ફાયરના બાટલા બદલવાની ખાતરી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા પંચાયતનાં બિલ્ડીંગમાં જે સ્થળે અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે ત્યાં ફાયર સેફટીના સાધનો મુકવામાં આવ્યા છે. પરંતુ આ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાક ફાયરનાં બાટલાઓ એક્સપાયર થઈ ચૂક્યા છે. તો ઘણા બાટલાઓમાં તો એકપાયારી ડેઈટ પણ લખવામાં આવી નથી. તેમાં માત્ર મેન્યુફેક્ચરિંગ ડેઈટ છે જે પણ 2024ની જોવા મળે છે. ત્યારે આ કચેરીમાં આવતા મુલાકાતીઓ, કર્મચારીઓ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની જીંદગી પણ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. બાબત ડીડીઓનાં ધ્યાનમાં જ નહીં હોવાનો લુલો બચાવ કરતા તેઓએ તાત્કાલિક પગલાં ભરવાનું જણાવ્યું હતું. ફાયર સેફ્ટીના એક્સપાયર થયેલા સાધનો અંગે ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે જણાવ્યું હતું કે, આ મામલે પણ તપાસ કરાવવામાં આવશે. એટલું જ નહીં તપાસ કરાવી તમામ એક્સપાયર થયેલા બાટલાઓ તાત્કાલિક ધોરણે બદલાવી દેવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, જો ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થયા હોવાનું જાણમાં આવ્યું હોત, તો તે તાત્કાલિક બદલી નાખવામાં આવ્યા હોત. આ બાબત તેમના ધ્યાન પર આવતા હવે તેઓ તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરશે. જિલ્લા પંચાયત બિલ્ડિંગની કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના આક્ષેપો બાદ ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી કચેરી ટ્રાન્સફરના મામલે કુલ રૂ. 17 લાખ ચૂકવવામાં આવ્યા છે. વધુ બિલ હજુ તેમની પાસે આવેલ નથી. આ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ડીડીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 10 થી 15 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સમગ્ર જવાબદારી અધિકારીઓ પર ઢોળી રહ્યા છે. બીજી તરફ, ડીડીઓનું કહેવું છે કે, કચેરી ટ્રાન્સફરનો ખર્ચ રૂ. 75 લાખ સુધી પહોંચી ગયો હોવાના આક્ષેપો થયા છે, પણ તેની કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી નથી. આરએન્ડબી પાસેથી જે બિલ મળ્યા છે, તે મુજબ અત્યાર સુધીમાં ફક્ત રૂ. 17 લાખ જ ચૂકવવામાં આવ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે જવાબદારીની રસાકસી ચાલી રહી છે, ત્યારે આ બંને મામલે સાચી હકીકત ક્યારે બહાર આવશે, તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:14 pm

પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કાર્ય:સમીના ગોચનાદ ગામના સેવા કાર્યકર્તાએ 250 રાશન કીટ તૈયાર કરી ગામડે ગામડે વિતરણ કર્યું

પાટણ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે રાધનપુર, સાંતલપુર અને અન્ય તાલુકાના ગામોમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. આ કપરા સમયમાં, સમી તાલુકાના ગોચનાદ ગામના યુવા સેવા કાર્યકર્તા ધુળાભાઈ ભુરાભાઈ બજાણીયા પૂર પીડિતોની મદદે આવ્યા હતા. ધુળાભાઈ બજાણીયાએ પોતાના નાના પરિવારના પ્રયાસોથી 250 રાશન કીટ તૈયાર કરી હતી. આ કીટોમાં અનાજ, દાળ, તેલ, બટાકા, ડુંગળી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે એક મહિના સુધી ચાલે તેટલી માત્રામાં હતી. આ રાશન કીટોનું વિતરણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા સહિત 10થી વધુ પૂરગ્રસ્ત ગામોમાં કરવામાં આવ્યું હતું. ધુળાભાઈએ જાતે ગામડે ગામડે જઈને આ કીટો સીધા જ પૂર પીડિત પરિવારોના ઘર સુધી પહોંચાડી હતી. એક મહિના સુધી ચાલે તેવી સામગ્રી ભરેલી કીટ મેળવતા ગ્રામજનોના ચહેરા પર રાહત જોવા મળી હતી. ગામજનો અને લાભાર્થી પરિવારો દ્વારા ધુળાભાઈના આ માનવતાભર્યા કાર્યને ખૂબ બિરદાવવામાં આવ્યું હતું. નાના પરિવારમાંથી આવતા હોવા છતાં ધુળાભાઈ દ્વારા કરાયેલા આ સેવા કાર્યે સમાજ માટે એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે કે, મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદ માટે સૌએ આગળ આવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:05 pm

આમ આદમી પાર્ટીએ કચ્છમાં વિદ્યાર્થી પાંખ લોન્ચ કરી:યુવાનોને રાજકારણમાં જોડવાનો હેતુ, નિકુલ આહીરની ASAP કચ્છ ઝોનના પ્રમુખ તરીકે નિમણૂક

ભુજમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેની વિદ્યાર્થી પાંખ ‘ASAP – એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર ઓલ્ટરનેટિવ પોલિટિક્સ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છ ઝોન કક્ષાના સંગઠનની સફળતાપૂર્વક શરૂઆત થઈ હતી. આ પહેલા દિલ્હી, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં પણ આ સંગઠન લોન્ચ કરાયું છે. આ લોન્ચિંગ પ્રસંગે AAP પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. આ સાથે, નિકુલ રણધીરભાઇ આહીરની ASAP કચ્છ ઝોનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. તેમની નિમણૂક સંજય બાપટ દ્વારા કરાઈ હતી. નિકુલ આહીર અને તેમની ટીમે અગાઉ ABVP માંથી આવીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે તેઓ ASAPની મજબૂત સ્થાપના કરવાની જવાબદારી સંભાળશે. આ લોન્ચિંગ સમારોહમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રવક્તા રાજીવભાઈ લોન્ચા, પરીક્ષિત બીજલાણી, ભુજ તાલુકા મહામંત્રી મામદ ખલીફા, હરિભાઈ આહીર, ગનીભાઈ સમા, અસલમ રાયમાં અને અસરફ કુંભાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સંગઠનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાજકારણમાં સક્રિયપણે ભાગ લેવા માટે એક વૈકલ્પિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આનાથી યુવા શક્તિનો દેશના નિર્માણમાં યોગ્ય ઉપયોગ થઈ શકે તેવું AAP દ્વારા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:57 pm

નાટ્ય કલાકારો SMCના નવા નિયમોથી નારાજ:શું 56 વર્ષ જૂની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે રદ્દ થશે?, નવા અને અચાનક બદલાયેલા નિયમોથી કલાકારોમાં ભારે રોષ

સુરત શહેરના કલાકારો અને નાટ્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 56 વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે કેમ? તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા અને અચાનક બદલાયેલા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલાકારોનો મુખ્ય વાંધો શું છે?આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં નવ જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે. જોકે, મનપાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદાસ્પદ નિયમ લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ, સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ એકવાર નાટકનું નામ અને તેની સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં. આ નિયમથી કલાકારો આશ્ચર્યચકિત અને નારાજ છે. કલાકારોએ જણાવ્યું કે, 56 વર્ષના ઇતિહાસમાં આવો કોઈ નિયમ ક્યારેય હતો જ નહીં. કલાકારોના મતે, આ નિયમ તદ્દન અવ્યવહારુ છે. રંગમંચના કલાકારોને કોઈ અચાનક બિમારી, કૌટુંબિક પ્રસંગ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે. આવા સંજોગોમાં, સંસ્થાએ નાટક બદલવું પડે અથવા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તે સ્વાભાવિક છે. પરંતુ, મનપાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવો નિયમ લાવ્યા છે કે, નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં. કલાકારોનું કહેવું છે કે, આ નિયમ પાછળનું કારણ શું છે, તે અધિકારીઓને પણ સ્પષ્ટ ખબર નથી. અધિકારીઓ પર મનઘડત નિયમો લાવવાનો આરોપઆયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ પર કલાકારો મનઘડત અને મનસ્વી નિયમો લાગુ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કલાકારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, રંગમંચના કલાકારો ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું કામ કરે છે. તેઓ રાત-દિવસ મહેનત કરીને કલાને જાળવી રાખે છે. આવા સંજોગોમાં, તેમના માટે આ પ્રકારના અવ્યવહારુ અને સમજણ વગરના નિયમો શા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે? કલાકારોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે, જો અધિકારીઓ નિયમો સતત બદલતા રહેશે તો આગામી વર્ષોમાં કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવાનું ટાળશે, જેના કારણે આ પરંપરાગત સ્પર્ધા તેની ચમક ગુમાવી દેશે. 51મી સંજીવ કુમાર સ્પર્ધાનું આયોજન શંકાના દાયરામાંઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા છેલ્લા 56 વર્ષથી આ નાટ્ય સ્પર્ધા યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે 51મી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબત પણ સ્પર્ધાના ઇતિહાસ અને આયોજન અંગે ગુંચવાડો ઉભો કરે છે. સમગ્ર મામલે મનપાના અધિકારીઓએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. જો કલાકારોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સંભવ છે કે આ વર્ષની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જે સુરતના કલા જગત માટે એક મોટું નુકસાન સાબિત થશે. કલાકારો અને નાટ્ય પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે મનપા આ મુદ્દે સકારાત્મક વલણ અપનાવશે અને નિયમોમાં જરૂરી ફેરફાર કરશે જેથી આ ઐતિહાસિક સ્પર્ધા સફળતાપૂર્વક યોજી શકાય.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:31 pm

નશામુકત ભારત બનાવવા અભિયાન:અમદાવાદમાં રવિવારે 15000 યુવાનો 5 કિલોમીટરની દોડ લગાવશે, રજિસ્ટ્રેશનની પ્રોસેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈ યોજાનારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત નશામુક્ત ભારત માટે નમો યુવા રનનું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 21 સપ્ટેમ્બરના રોજ વસ્ત્રાપુર લેક ખાતેથી દોડની શરૂઆત થશે. વસ્ત્રાપુરથી એસજી હાઇવે તરફના 5 કિલોમીટર વિસ્તારમાં આ દોડ યોજાશે. અંદાજે 15000 યુવાઓ આ નમો યુવા રનમાં જોડાશે. જે યુવાનો યુવા રનમાં જોડાવવામાં માગતાં હોય તેઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રોટોકોલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રગ મુક્ત અને નશામુક્ત ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાકલ કરવામાં આવી છે ત્યારે તમામ યુવાનો આ નશામુક્ત અભિયાનમાં જોડાઈ તેના માટે ભાજપ યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં 21 સપ્ટેમ્બરના રોજ નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 100 જગ્યાએ અને દરેક જગ્યા પર આશરે 10,000 જેટલા યુવાનો દ્વારા દોડ લગાવવામાં આવશે. ગુજરાતમાં 10 જગ્યાએ દોડ થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના અલગ અલગ શહેરોમાં આ દોડ યોજાશે. અમદાવાદમાં 21 સપ્ટેમ્બરના રોજ રવિવારે સવારે 6:00 વાગ્યે વસ્ત્રાપુર લેકથી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ દોડનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના અંદાજે 15,000થી વધારે યુવાનો જોડાશે. ક્રિકેટર પાર્થિવ પટેલ, અભિનેતા મલ્હાર ઠક્કર, મોનલ ગજ્જર સહિતના કેટલાક નામકિત લોકો પણ આ દોડમાં ભાગ લેવાના છે. શહેરના યુવાનો પણ આ દોડમાં ભાગ લે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નમો યુવા રનની લીંક અને QR કોડ મારફતે તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કહેતા હોય કે દેશને યુવાની જરૂર છે. જો યુવાનો આગળ આવશે અને નશા મૂક્ત ભારત બનશે હાકલ કરતા હોય ત્યારે યુવાનોની રાજકીય ક્ષેત્ર અને ફીટ ઇન્ડિયામાં ભાગીદારી રહેશે તો તો ચોક્કસ આદેશ હરણફાળ ભરશે. આત્મનિર્ભર ભારત બનાવવા પણ યુવાઓની ભાગીદારી જરૂરી છે. યુવાનોને ડ્રગ્સ ફ્રી બનાવવાનો સંદેશો આપતાં હોય છે. આજે સોશિયલ મીડિયાનો અને AI ટેક્નોલોજીનો જમાનો છે. ત્યારે ભારતને ડ્રગ્સ મૂક્ત બનાવવા માટે વડાપ્રધાનની હાકલમાં જોડાશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:28 pm

કાકરાપાર જમણાકાંઠા નહેર 90 દિવસ બંધ રાખવાનો નિર્ણય:જીનિંગ સોસાયટીએ ખુલાસો કરતા કહ્યું- કેનાલ જર્જરિત છે, સમારકામ જરૂરી; બની બેઠેલા ખેડૂત આગેવાનો ખોટા નિવેદનો કરે છે

સુરત સિંચાઈ વિભાગ દ્વારા કાકરાપાર જમણાકાંઠા વિભાગની નહેરોને 1 ડિસેમ્બર, 2025થી 28 ફેબ્રુઆરી, 2026 સુધી (90 દિવસ માટે) સિંચાઈનું પાણી વહેવડાવવાનું બંધ કરવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધ પુરુષોત્તમ ફાર્મર કો-ઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટીએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું કે, આ કામગીરી ખેડૂતોના હિતમાં છે અને તેનાથી લાંબા ગાળે ફાયદો થશે. હેરના સ્ટ્રક્ચર 65 વર્ષ જૂના, કોઈપણ સમયે તૂટી શકેઃ મનહર પટેલેમનહર પટેલે સ્પષ્ટ કર્યું કે, કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચર 65 વર્ષ જૂના છે અને કોઈપણ સમયે તૂટી પડવાની સંભાવના છે. જો આવું થાય તો તે સરકાર અને ખેડૂતો બંને માટે ચિંતાનો વિષય બનશે. આ માળખાના સમારકામ માટે ખેડૂતો દ્વારા પણ માગ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ખેડૂત સમાજના અમુક લોકો ખોટા નિવેદનો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જ્યારે સરકારે આ કામગીરી માટે સુરત જિલ્લાને 250 કરોડ રૂપિયા અને અંકલેશ્વર વિભાગ માટે 50 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે ખેડૂતોના હિતમાં છે. ‘બની બેઠેલા આગેવાનો સરકારી યોજનાના વિરોધમાં’તેમણે વધુમાં જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઓલપાડની પિયત મંડળીઓએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. આ સમારકામથી છેવાડાના ખેડૂતોને પણ પૂરતું પાણી મળી રહેશે અને પાકમાં કોઈ ઘટાડો થશે નહીં. ખેડૂત સમાજના કેટલાક બની બેઠેલા આગેવાનો સરકારની યોજનાઓનો વિરોધ કરવા માટે જ આયોજન કરે છે. ‘90 દિવસમાં કેનાલનું સમારકામ કરી દેવાશે’ આ એકવાડેક્ટના સમારકામ માટે કેનાલ બંધ કરવી જરૂરી છે. મનહર પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે આ કામ માટે 180 દિવસ નહેર બંધ રાખવી પડે, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા 90 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, 5 ડિસેમ્બરે સિંચાઈ વિભાગ અને મંડળીઓના હોદ્દેદારો વચ્ચે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં તમામ ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું હતું. કાકરાપાર નહેર અને તેનું મહત્વઉકાઈ બંધ તાપી નદી પર 1972માં બંધાયેલો છે, જે સિંચાઈ, જળ વિદ્યુત અને પૂર નિયંત્રણ માટે મહત્વનો છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ખાતે તાપી નદી પર 1954માં કાકરાપાર વિયર બંધાયો હતો. તેની જમણાકાંઠા મુખ્ય નહેર 60.97 કિમી લાંબી છે અને તેની સિસ્ટમની નહેરોની કુલ લંબાઈ 1030.79 કિમી છે. આ નહેર દ્વારા સુરત, ભરુચ, માંડવી, માંગરોળ, ઓલપાડ, ચોર્યાસી, અંકલેશ્વર અને હાંસોટ એમ કુલ 6 તાલુકાના 117400 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી અને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. છેલ્લા દસ વર્ષમાં ડાંગર, શેરડી અને કપાસના પાકમાં વધારો થવાથી પાણીની માગ પણ વધી છે. નહેરની ક્ષમતા વધારવા માટે સમારકામ જરૂરી છે. નહેર પર આવેલા 35 ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર, જેમાં 8 એક્વાડક્ટ, 3 કેનાલ સાયફન અને 24 ડ્રેનેજ સાયફનનો સમાવેશ થાય છે, તે અંદાજે 65 વર્ષ જૂના છે અને જર્જરિત હાલતમાં છે. ખાસ કરીને 6.10, 53.645 અને 149.733 RD પર આવેલા કેનાલ સાયફન અને 19.47, 26.40 RD પરના એક્વાડક્ટ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. કામગીરી માટે સરકારે રૂ. 250 કરોડ મંજૂર કર્યા આ માળખામાંથી પાણીનું લીકેજ અને સીપેજ થઈ રહ્યું છે અને તેમના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નકારાત્મક છે. આ સ્ટ્રક્ચરને તાત્કાલિક નવીનીકરણની જરૂર છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ કામગીરી માટે સરકારે રૂ. 250 કરોડ મંજૂર કર્યા છે, જેનું કામ અગ્રતાના ધોરણે પૂર્ણ કરવું આવશ્યક છે. આ પગલાંથી લાંબા ગાળે ખેડૂતોને પૂરતું અને નિયમિત પાણી મળી રહેશે, જે તેમની ખેતી માટે અત્યંત લાભદાયી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:25 pm

અનિરુદ્ધસિંહ જાડેજા બપોરે 3 વાગ્યે સરેન્ડર કરશે:જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યાકેસમાં હાજર થશે; અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં થઈ શકે ધરપકડ

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે(18 ઓગસ્ટ) બપોરે 3 વાગ્યે જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરશે. આ સમયે અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે. અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. 2018માં તત્કાલીન જેલ આઇજી બિષ્ટે સજા માફી આપી1988ના પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યાર બાદ સરકારે TADA એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે ત્યાર બાદ 3 વર્ષે પોલીસ તેને પકડી શકી એટલે કે 2000માં જેલમાં મોકલી દીધો. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. આમ, અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજામાફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી. 22 વર્ષના અનિરુદ્ધસિંહે તત્કાલીન MLAની હત્યા કરી હતીગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 1988ના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી. આ સમા્ચાર પણ વાંચોઃ આ છે ગુજરાતનું 'મિર્ઝાપુર', ત્રણ દાયકામાં ચાર પાટીદાર અને એક ક્ષત્રિયની હત્યા અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં 19 ઓગસ્ટે અનિરુદ્ધસિંહના આગોતરા રદગોંડલની સેશન્સ કોર્ટે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈને કોર્ટે 19 ઓગસ્ટે આ નિર્ણય લીધો છે. આ સમાચાર પણ વાંચોઃ મોડેલ સાથે ડ્રાઇવ, જ્યૂસ પીધો ને પછી કારમાં દુષ્કર્મ, આપઘાત કર્યો ને જયરાજસિંહની એન્ટ્રી; જાણો અમિત ખૂંટ કેસનો ઘટનાક્રમ 15 ઓગસ્ટ, 1988ના એ દિવસે શું થયું હતું?અન્ય વીઆઇપી મહેમાનોની સાથે ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયા પહેલી હરોળમાં ખુરસીમાં બેઠા હતા. બરોબર તેમની પાછળની ખુરસીમાં એક યુવક બેઠો હતો. પોપટભાઈને ક્યાં ખબર હતી કે મોત તેની પાછળ ભમી રહ્યું છે. યુવકના હાથમાં રૂમાલના પોટલા જેવું હતું. તેણે બરોબર 9.30 વાગ્યે આજુબાજુ નજર કરી... કોઈ જોતું નથી ને એની ખાતરી કરી. પછી પળનો પણ વિલંબ કર્યા વગર રૂમાલમાંથી રિવોલ્વર કાઢી રૂમાલથી જ રિવોલ્વર હાથમાં પકડી. પછી આગળ બેઠેલા પોપટભાઇ સોરઠિયાના માથાના પાછળના ભાગે નાળચું તાણ્યું. પછી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઘોડો દબાવ્યો. ધડામ દઇને અવાજ આવ્યો. છૂટેલી ગોળી પોપટભાઇની ખોપસીમાં ઘૂસી ગઇ. નાના મગજમાં ગોળીના છરા ઘૂસી ગયા. સેકન્ડમાં લોહીનો ફુવારો છૂટ્યો. પોપટભાઇ કંઇ સમજે એ પહેલાં તો જમણી બાજુ ફસડાઇ પડ્યા. આંખના પલકારામાં આખો બનાવ બની ગયો હતો. કાર્યક્રમમાં હાજર અમુક મહેમાનોને થયું કે પાછળથી બાળકોએ ફટાકડા ફોડ્યા એનો અવાજ આવ્યો હતો. જ્યારે બીજી તરફ લોહી નિતરતી હાલતમાં પોપટભાઇને નીચે ફસડાતા જોઇ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ગોળી મારનારો પકડાયો અને બોલ્યો- હું રીબડાનો અનિરુદ્ધસિંહ છુંપોપટભાઇ સોરઠિયાની બાજુમાં SRPના DySP પી.ડી.ઝાલા બેઠા હતા. અવાજ સાંભળતાં જ તેઓ પોતાની ખુરસી પરથી ઊભા થઇ ગયા. તેમણે જોયું કે ગોળી મારનાર યુવક ભાગી રહ્યો છે. તેમણે તરત દોટ મૂકી યુવકને ઝડપી લીધો હતો. તેને પકડીને પીએસઆઇ રાવત સહિતના પોલીસ સ્ટાફને સોંપ્યો હતો, જ્યાં નામ પૂછવામાં આવતાં જ યુવકે કહ્યું, હું રીબડાનો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા છું. બીજી તરફ આ જ વખતે ત્યાં બેઠેલા SRPના અન્ય અધિકારી આઇ.બી.શેખાવતે જોયું તો તેમના માથા પરથી કંઇક વસ્તુ વીંટાયેલો રૂમાલ પસાર થયો હતો, જે થોડે દૂર જઇને પડ્યો. તેમણે દોડીને નીચે પડેલો રૂમાલ હાથમાં લીધો, જે ખોલીને જોયું તો એમાં પિસ્તોલ હતી, જે લોડ કરેલી હતી અને એનું ટ્રિગર દબાયેલું હતું. તેમણે એ કબજે લઇ પોલીસને સોંપી હતી. પોપટ સોરઠિયાએ રાજકોટમાં દમ તોડ્યોત્યાર બાદ તરત જ લોહી નિતરતી હાલતમાં પોપટભાઇ સોરઠિયાને જીપમાં સુવડાવી ગોંડલ દવાખાને લઇ જવામાં આવ્યા હતા, પણ હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડાયા હતા, પણ રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે તેમને 10.15 વાગ્યે લાવવામાં આવ્યા હતા. ફરજ પર હાજર ડૉ. શશિકાંત મોઢા સહિતના ડૉક્ટરોએ તેમને કૃત્રિમ શ્વાસ આપી બચાવવાના પ્રયત્ન કર્યા હતા. આ દરમિયાન રાજકોટના ખ્યાતનામ સર્જન ડૉ. સી.એ.ઠક્કરને પણ બોલાવી લેવામાં આવ્યા હતા, જોકે અનેક પ્રયત્ન છતાં સોરઠિયાને બચાવી શકાયા નહોતા. બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજાને જીપમાં બેસાડીને 9.55 વાગ્યે ગોંડલ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં 12.15 વાગ્યે SRPના આઇ.બી. શેખાવતે FIR નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં ખુદ રેન્જ ડીઆઇજી રવીન્દ્ર ભટ્ટાચાર્યએ 12.30 વાગ્યે ગોંડલ પહોંચીને તપાસ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં નેતાઓ ઊમટી પડ્યાચાલુ ધારાસભ્ય ઉપરાંત લેઉવા પાટીદાર સમાજના કદાવર નેતા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પોપટભાઇ સોરઠિયાની ધોળા દિવસે હત્યાના બનાવથી આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. હુમલાના સમાચાર આગની જેમ ફેલાતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના ચાહકો સહિત 5 હજાર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલ, સાંસદ રમાબેન માવાણી, પૂર્વ પુરવઠામંત્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ રામજી માવાણી સહિત અસંખ્ય નેતાઓ ઊમટી પડ્યા હતા. પોસ્ટમોર્ટમ વિધિ બાદ સોરઠિયાનો મૃતદેહ તેમના પુત્ર લલિતભાઇ અને દિનેશભાઇને સોંપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:23 pm

ખરાબ રસ્તાઓના સમારકામની કામગીરી:નવસારીમાં ખખડધજ માર્ગો પર માર્ગ મકાન વિભાગે ખાડા પૂરવાનું શરૂ કર્યું, વાહનચાલકોને રાહત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખખડધજ માર્ગો પ્રત્યેના રોષ બાદ માર્ગ અને મકાન વિભાગ સક્રિય બન્યું છે. નવસારી જિલ્લામાં વરસાદ અટકતાની સાથે જ ખરાબ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી-ગણદેવી રાજ્ય ધોરીમાર્ગ પર પડેલા ખાડાઓના પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 કિલોમીટર લાંબા આ માર્ગ પર જુદી જુદી જગ્યાએ કુલ અઢી કિલોમીટર વિસ્તારમાં ખાડા પડ્યા છે. જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અન્ય પાંચ માર્ગોની મરમ્મત પણ શરૂ કરવામાં આવી છે. આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરીજનોને જર્જરિત રસ્તાઓ પરથી પસાર થવામાં હાલાકી ન પડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં વરસાદ અવરોધરૂપ બની રહ્યો છે. કામ શરૂ થયા બાદ વરસાદ શરૂ થતાં તેને ફરીથી બંધ કરવાની ફરજ પડે છે, જેના કારણે સમારકામની ગતિ ધીમી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:22 pm

સેવન્થ ડે સ્કૂલમાં તપાસ કમિટી પહોચી:સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી ડોક્યુમેન્ટનું નિરીક્ષણ શરૂ, એક મહિનાથી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં તપાસ કમિટી તપાસ માટે પહોંચી હતી.તપાસ કમિટી દ્વારા વિવિધ મુદ્દે સ્કૂલના અધિકારીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી.આવનાર દિવસમાં ફરીથી સ્કૂલ શરૂ થાય તો સ્કૂલમાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા તથા સ્કૂલ દ્વારા જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેની ચકાસણી તપાસ કમિટી દ્વારા કરવામાં આવી હતી. ખોખરા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં એક મહિના અગાઉ વિદ્યાર્થીઓની હત્યા કરી હતી.જે બાદ ભારે વિરોધ સર્જાયો હતો.એક મહિનાથી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ છે.આગામી દિવસમાં સ્કૂલમાં ફરીથી શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી શક્યતા છે પરંતુ તે અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટીના સભ્યો તપાસ માટે સ્કૂલમાં પહોંચ્યા હતા. તપાસ કમિટીના સભ્યો દ્વારા સ્કૂલમાં જરૂરી સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.આ ઉપરાંત સ્કૂલમાં ફરીથી વિધાર્થીઓ આવે તો કઈ પ્રકારની વ્યવસ્થા છે તે મામલે પણ તપાસ કરવામાં આવી હતી.સ્કૂલ દ્વારા અગાઉ જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા તે તથા જે ડોક્યુમેન્ટ રજૂ નથી કર્યા તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.તપાસ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે જે બાદ સ્કૂલ ફરીથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:19 pm

ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલાયા:તાપી નદીમાં 1.30 લાખ ક્યુસેક પાણીની આવક, કોઝવેની સપાટી 8.33 મીટરને પાર

ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. પરિણામે, મંગળવારે બંધ કરવામાં આવેલા ડેમના દરવાજા ફરી ખોલવાની ફરજ પડી છે. હાલમાં ઉકાઈ ડેમમાંથી 1.10 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે. આ પરિસ્થિતિને જોતા તાપી નદીના કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમનું જળસ્તર હાલમાં 342.33 ફૂટ પર પહોંચ્યું છે, જે ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 2.67 ફૂટ જ દૂર છે. ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવતા ડેમનું લેવલ ઝડપથી વધી રહ્યું છે. ડેમમાં થઈ રહેલી પાણીની ભારે આવકને કારણે, પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે ડેમના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે. સુરતના કોઝવેની સપાટી 8.33 મીટરે પહોંચીઆ પ્રવાહની સીધી અસર સુરતના કોઝવે પર જોવા મળી રહી છે. કોઝવેની સપાટી પણ 8.33 મીટર ઉપર પહોંચી ગઈ છે. કોઝવેની ભય જનક સપાટી 6 મીટર છે.કોઝવેમાંથી ઉકાઈ ડેમ માંથી આવેલ પાણી અને સુરત જિલ્લામાં પડેલ વરસાદી પાણી ની આવક હાલ નદીમાં 1.30 લાખ ક્યુસેક છે, જેના કારણે નદીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાપી નદીના કિનારે વસતા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સાવચેત એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં જો ઉપરવાસમાં વધુ વરસાદ થશે તો પાણીનો પ્રવાહ હજુ વધવાની શક્યતા છે, જેના કારણે સુરત શહેરના કેટલાક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. મંગળવારે સાંજે ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જેથી પાણીનો પ્રવાહ નિયંત્રિત કરી શકાય. પરંતુ, ઉપરવાસમાં અનપેક્ષિત ભારે વરસાદને કારણે ફરીથી ડેમના દરવાજા ખોલવા પડ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. નાગરિકોને નદી કિનારે ન જવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:16 pm

7 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યૂ:વડોદરાના આંકોડીયા-કોયલી રોડ પરથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટે રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપ્યો

વડોદરા પાસે આવેલ અંકોડિયા- કોયલી રોડ પર એક 7 ફૂટ લાંબા ઇન્ડિયન રોક પાયથન આવી જતા આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટે કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. આ વિસ્તારમાં અજગર હોવાની વિગતો વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને કરતા તાત્કાલિક અરવિંદ પવારે તેમની ટીમના અનુભવી કાર્યકરો કિરણ શર્મા, હિતેષ પરમાર અને ધ્રુવભાઈને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ટીમે સ્થળ પર પહોંચીને જોયું તો એક 7 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન જોવા મળ્યો હતો જે બિન-ઝેરી હોવા છતાં તે મહાકાય હતો. આ અજગરને રેસ્ક્યૂ કરવા માટે ટીમે અડધો કલાક સુધી ભારે જહેમત ઉઠાવી અને અંતે તેને સહી-સલામત કાબૂમાં લીધો હતો. રેસ્ક્યૂ પછી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે અજગરને વડોદરા વન વિભાગને સહી સલામત રીતે સોંપ્યો હતો. અવાર નવાર આ પ્રકરણ કોલ મળતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ધોરણે પહોંચી માનવીએ કામગીરી કરી વન્ય જીવોના સંરક્ષણ માટે અનેક પ્રયાસો વર્ષોથી કરે છે. ઇન્ડિયન રોક પાયથન (Python molurus) ભારતનો મૂળ વન્યજીવ છે અને દક્ષિણ એશિયામાં વ્યાપકપણે જોવા મળે છે. આ સાપ બિન-ઝેરી હોય છે અને તે પોતાના શિકારને શરીરથી વીંટી લઈને દબાવીને મારી નાખે છે. સામાન્ય રીતે 6થી 10 ફૂટ લાંબા થતા આ સાપ જંગલો, ખેતરો અને નદીઓની નજીકના વિસ્તારોમાં રહે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:11 pm

માલધારીના આપઘાત મામલે RFO સહિત ત્રણ સામે ફરિયાદ:પરિવારજનોની માગણી સંતોષાતા મોડીરાત્રે મૃતદેહ સ્વીકાર્યો, વનવિભાગના કથિત ત્રાસથી જિંદગી ટૂંકાવી હતી

મેંદરડા તાલુકાના જાંબુથાળા ગામના માલધારી સલીમભાઈ બલોચ મકરાણીના આપઘાતના મામલે મોડીરાત્રે વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકાર્યો હતો. સલીમભાઈએ વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી અને સાત દિવસની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. આ ઘટના બાદ છેલ્લા 24 કલાકથી પરિવારજનો અને સમાજના આગેવાનો પોલીસ કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા હતા. ​શું હતો સમગ્ર મામલો?​મળતી માહિતી મુજબ, મેંદરડાના જાંબુથાળા નેસમાં રહેતા માલધારી સલીમભાઈ બલોચ મકરાણીએ વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના પરિવારજનોનો આરોપ છે કે, વન વિભાગના અધિકારીઓ સલીમભાઈને ખોટી રીતે હેરાન કરતા હતા. તેઓ એવા આરોપો લગાવીને ધમકાવતા હતા કે, સલીમભાઈ બહારથી પશુઓને જંગલમાં ચરાવવા લાવે છે. જો કે, સલીમભાઈએ પોતાની માલિકીના પશુઓ હોવાનું સોગંદનામું આપ્યું હોવા છતાં તેમને હેરાન કરવામાં આવતા હતા અને ઝૂંપડા હટાવવા માટે પણ ધમકીઓ આપવામાં આવતી હતી. આ ત્રાસથી કંટાળીને સલીમભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. ​ગંભીર હાલતમાં સલીમભાઈને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સાત દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં મામલતદાર સમક્ષ આપેલા ડાઈંગ ડિક્લેરેશનમાં પણ તેમણે વન વિભાગના અધિકારીઓના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે. ​પરિવારજનોની માંગણી અને સમાધાન​સલીમભાઈના નિધન બાદ પરિવારજનોએ પોલીસ કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમના ભાઈ હનીફભાઈ અને ભીખુભાઈએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરીને તેમને સસ્પેન્ડ કરી ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. છેલ્લા 24 કલાકથી પરિવારજનો અને સમાજના અગ્રણીઓ આ મુદ્દે પોલીસ સાથે ચર્ચા કરી રહ્યા હતા. આખરે મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓની સમજાવટ અને કાનૂની કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ મામલો શાંત પડ્યો હતો. પોલીસે BNS કલમ 108 હેઠળ મેંદરડાના RFO સહિત ત્રણ અધિકારીઓ સામે મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકારીને સલીમભાઈના અંતિમ સંસ્કાર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:05 pm

નારાયણ સાંઈની હંગામી જામીન અરજી:બીમાર માતાની સારવાર માટે 45 દિવસના જામીનની માગણી, આજે બપોરે સુનાવણી હાથ ધરાશે

આસારામના પુત્ર અને દુષ્ક્રમના કેસના આરોપી નારાયણ સાંઈએ બિમાર માતાની સારવાર ચાલી રહી હોય 45 દિવસના હંગામી જામીન માગવામાં આવ્યા છે.બે દિવસ પહેલા યોજાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા નારાયણ સાંઈની માતાની ચાલી રહેલી સારવારના યોગ્ય મેડિકલ સર્ટિફિકેટ માગવામાં આવ્યા છે. આ મામલે આજે બપોરે અઢી વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે. માતા બિમાર હોય 45 દિવસના હંગામી જામીન માગવામાં આવ્યાનારાયણ સાંઈ તરફથી હાઈકોર્ટમાં 45 દિવસના હંગામી જામીન માગતી અરજી કરવામાં આવી છે. નારાયણ સાંઈના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, નારાયણ સાંઈના માતાને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા હતા. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે માતાની ચાલી રહેલી સારવારના યોગ્ય સર્ટિફિકેટ રજૂ કરવા જણાવ્યું હતું. જૂન મહિનામાં પિતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતાવર્ષ 2019માં સેશન્સ કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં નારાયણને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમાં તેણે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે અને પોતાની બીમાર માતાને મળવા માટે હંગામી જામીન માંગ્યા છે. જૂન મહિનામાં હાઇકોર્ટે આસારામની તબીબી સ્થિતિ અને પિતા અને પુત્ર વ્યક્તિગત રીતે મળી શક્યા ન હતા તે હકીકતને ધ્યાનમાં લીધા પછી, માનવતાવાદી ધોરણે નારાયણ સાંઈને તેમના પિતા આસારામને મળવા માટે 05 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતા. સુરતની સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છેઉલ્લેખનીય છે કે 30 એપ્રિલ, 2019ના રોજ સુરતની સેશન્સ કોર્ટ દ્વારા નારાયણ સાંઈને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(f) 376(k) 376(n), 377, 354, 504 અને કલમ 506(2) હેઠળ સજાપાત્ર ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ડિસેમ્બર 2013થી તે જેલમાં બંધ છે. અરજદારના નારાયણ સાંઈના પિતા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે એક અલગ દુષ્કર્મ કેસમાં 30 ઓગસ્ટ સુધીમાં સરન્ડર થવાનું કહ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુરતની યુવતી સાથે દુષ્કર્મના બીજા કેસમાં આસારામની હંગામી જામીન અરજી પર 22મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાવાની છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:56 am

સાબરકાંઠામાં બે સ્થળે અજગર દેખાયા:જીવદયા પ્રેમી અને વન વિભાગે રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના દઢવાવ અને હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી બે અજગર દેખાયા હતા. જીવદયા પ્રેમી અને વન વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યા હતા. હિંમતનગરમાં પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુહિંમતનગરમાં સહકારી જીનથી હડીયોલ રોડ પર આવેલા અત્રી ગ્રીન ફ્લેટ રોડ નજીક એક અજગર જોવા મળ્યો હતો. આ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમી ભારતસિંહ રાઠોડને જાણ કરી હતી. ભારતસિંહ રાઠોડે ઘટનાસ્થળે પહોંચી પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂક્યો હતો. વિજયનગરના દઢવાવ ગામે 15 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યુંબીજી ઘટના વિજયનગરના દઢવાવ ગામે ડામોર ફળિયામાં બની હતી, જ્યાં એક મહાકાય અજગર દેખાયો હતો. ખેડૂતોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી આશરે 15 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેને પણ સલામત સ્થળે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:53 am

​કેશોદના ભાટ સિમરોલી ગામે જનતા રેડ:મહિલા સરપંચના પોલીસ પર ગંભીર આક્ષેપો,ભાટ સિમરોલી ગામે દેશી દારૂ વેચતા તત્વોને લોકોએ ઝડપી પાડ્યા

જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂના બેફામ વેચાણ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના ભાટ સિમરોલી ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી છે. આ રેડમાં મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા હતા અને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે મહિલા સરપંચે આક્ષેપ કર્યો હતો કે, પોલીસને લેટરપેડ પર જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરી. આ લોકો મહિલાઓને હેરાન કરે છે. બેવાર લેખિતમાં પોલીસને રજૂઆત કરી હતીઃ સરપંચ​ભાટ સિમરોલી ગામના મહિલા સરપંચ મેનાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગામમાં દેશી દારૂનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે, જેના કારણે મજૂર અને ગરીબ પરિવારો હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામ પંચાયતે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં બે વાર રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું. ​પોલીસ હપ્તા લેતી હોવાનો આક્ષેપ​સરપંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે પોલીસને લેટરપેડ ભરીને આપ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. પોલીસની બેદરકારીથી કંટાળીને ગ્રામજનોએ જાતે જ કાયદો હાથમાં લીધો અને જનતા રેડ પાડી. આ રેડ દરમિયાન મોટીમાત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે સરપંચના જણાવ્યા મુજબ વેપારીઓ મોટાભાગનો દારૂ વેચી ચૂક્યા હતા. ગ્રામજનોની કાયદેસરની કાર્યવાહીની માગ​ગ્રામજનોએ દારૂના ધંધાર્થીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી પોલીસ આ મામલે ગંભીરતાથી પગલાં નહીં ભરે ત્યાં સુધી ગામમાં શાંતિ જળવાશે નહીં. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂના કાળા કારોબાર અને પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે, સ્થાનિક પ્રશાસન આ મામલે શું પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:50 am

માતાનામઢ તરફ આશાપુરા માતાજીના દર્શને ભક્તોનો પ્રવાહ:કચ્છના માર્ગો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા, ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમ્યાં

કચ્છની કુળદેવી આઈ આશાપુરા માતાજીના દર્શન માટે પદયાત્રીઓનો પ્રવાહ યાત્રાધામ માતાનામઢ તરફ આગળ વધી રહ્યો છે. અશ્વિન નવરાત્રિના પાવન પર્વ પહેલાં જ લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા ચાલીને મઢ પહોંચી રહ્યા છે, જેના કારણે ભુજ સહિત જિલ્લાના તમામ માર્ગો જય માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યા છે. સરહદી કચ્છ જિલ્લાના છેવાડે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં સતત ઉમટી રહેલા યાત્રિકોની સેવા-સુશ્રુષા માટે તમામ રસ્તાઓ પર હજારોની સંખ્યામાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. આ કેમ્પોમાં ચા, નાસ્તો, ભોજન, રહેવાની વ્યવસ્થા અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ સેવાભાવી લોકો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. મોબાઈલ સેવા પણ ઉપલબ્ધ છે. નાના-મોટા વાહનોમાં લગાવેલી સાઉન્ડ સિસ્ટમમાં વાગતા મા શક્તિના ગરબાઓ પગપાળા જતા માઈભક્તોને બળ પૂરું પાડી રહ્યા છે. બાળકોથી લઈને વડીલ વયના શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાના બળે મઢ તરફ ડગ માંડી રહ્યા છે. કેટલાક શ્રદ્ધાળુઓ આંખે પાટા બાંધીને તો કેટલાક માતાજીનો ગરબો ઉપાડીને ચાલી રહ્યા છે. જિલ્લા મથક ભુજ શહેરમાંથી પસાર થતા ડબલ માર્ગો હાલ આસ્થાળુઓની હાજરીથી સિંગલ માર્ગ જેવા બની ગયા છે. દિવસ-રાત જનપ્રવાહથી એક અલૌકિક ધાર્મિક માહોલ સર્જાયો છે. અબાલ-વૃદ્ધ સૌ કોઈ જય માતાજીના નાદ પોકારતા જોવા મળી રહ્યા છે.કચ્છના ઉત્તર ગુજરાત તરફના આડેશરથી સૌરાષ્ટ્ર સાથે જોડતા મોરબી માર્ગ પરના સુરજબારીથી લઈને જિલ્લાની સરહદ સુધીના સ્થળોએ સેવા કેમ્પો યાત્રાળુઓના સત્કારમાં પ્રવૃત્ત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:41 am

ધોળાપીપળા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત:ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કૂદી સામેના રોડ પરથી પસાર થતી અન્ય ટ્રક સાથે અથડાઈ

નવસારી હાઇવે રોડ પર ધોળાપીપળા નજીક બે હાઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ટ્રકના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળાપીપળાથી આમરી તરફ જતા સ્ટેટ હાઇવે પર આ અકસ્માત થયો હતો. ટ્રક નંબર GJ-21-Z-3964 ના ચાલક મનજીતસિંગ સરોજે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેમની ટ્રક ડિવાઇડર કૂદીને સામેના રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રક નંબર GJ-21-W-9379 સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક રહીશો, રાહદારીઓ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રકની કેબિનમાં ફસાયેલા બંને ડ્રાઇવરોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટ્રક GJ-21-W-9379 ના ચાલક અરુણ મદન મોહન ભારતી (ઉં.વ. 45, રહે. હજીરા, મૂળ બિહાર)નું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી ટ્રકના ચાલક મનજીતસિંગ શ્રીનાથ સરોજ (ઉં.વ. 32, રહે. ડીંડોલી, મૂળ ઉત્તરપ્રદેશ)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે નવસારી રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:07 am

નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં મીટર પેટીમાં ધડાકા સાથે આગ:ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી આગ ત્રીજા માળ સુધી ફેલાઈ; 3 ફાયર સ્ટેશનના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી દોઢ કલાકે કાબુમાં લીધી

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મિડાસ સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગ ઇલેક્ટ્રીક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના પગલે ત્રણ ફાયર સ્ટેશનની આઠ જેટલી ગાડીઓ દ્વારા દોઢ કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતામળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં આવેલા મિડાસ સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ સવારે લગભગ સાડા પાંચ વાગ્યે માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ શરૂ થઈ હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયોઃ ફાયર ઓફિસરફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું હતું કે, ટેકસટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં જ ડુંભાલ, પુણા અને માનદરવાજા ફાયર સ્ટેશનની કુલ આઠ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. ધુમાડો એટલો હતો કે, બહારથી એવું લાગે કે જાણે આખી ટેક્સટાઇલ માર્કેટ સળગી રહી હોય, પણ અંદર ધુમાડો વધુ હતો. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવીફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હતી, પરંતુ આગ વાયરોમાં લાગી હોવાથી ફાયર સેફ્ટી સિસ્ટમ ઓપરેટ થઈ શકી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:05 am

રાધનપુર નગરપાલિકામાં મહિલાઓનું વિરોધ પ્રદર્શન:પ્રમુખ ગુમ છે તેવા બેનરો પ્રદર્શિત કરી આક્રોશ વ્યક્ત કર્યો

રાધનપુર શહેરમાં રોડ-રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોર સહિતના અનેક પ્રશ્નોને લઈને નાગરિકોએ નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. વિરોધકર્તાઓએ નગરપાલિકા પ્રમુખ ગુમ છે તેવા બેનરો પ્રદર્શિત કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેરના પ્રશ્નોની રજૂઆત કરવા માટે નગરસેવક જયાબેન ઠાકોર સહિત અનેક મહિલાઓ પ્રમુખના કાર્યાલયે પહોંચી હતી. જોકે, પ્રમુખ ગેરહાજર રહેતા નાગરિકોમાં નારાજગી વધી હતી. વિરોધકર્તાઓએ પ્રમુખની ખુરશી પર પ્રમુખ ગુમ છે અને નગરપાલિકાના પ્રવેશદ્વાર પર સત્તાધિશોને પ્રજાની ચિંતા નથી, નાગરિકો આશા ન રાખે તેવા બેનરો લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પીવાનું પાણી, વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ અને સફાઈ સહિતના મુદ્દાઓ મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સફાઈ કર્મચારીઓને સુરક્ષા કિટ અને પગાર વધારો આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. નાગરિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરીને શહેરમાં વસ્તીની સામે કર્મચારીઓની ઓછી સંખ્યાનો મુદ્દો પણ રજૂ કર્યો હતો. નાગરિકોનો આક્ષેપ છે કે પ્રમુખ સતત ગેરહાજર રહેતા હોવાથી શહેરીજનોની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી અને લોકોમાં નારાજગી વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:53 am

યાત્રી સેવા દિવસે જ મુસાફરોને અસુવિધા:રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનોનું શયનાસન, ટર્મિનલમાં દૈનિક 1500 હવાઈ મુસાફરને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસે જ અસુવિધાઓ સામે આવી હતી. અહીં એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ કે જ્યાં હવાઈ મુસાફરોની એન્ટ્રી-એક્ઝિટ થતી હોય છે ત્યાં જ શ્વાનો સુતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. આ સાથે જ એરપોર્ટમાં ફ્લાઈટમાં જવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ ટર્મિનલમાં એક બંધ હોલમાં અનેક નવી નકોર ખુરશીઓ જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે. યાત્રી સેવા દિવસે જ સુવિધાઓના છીંડાદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઈ, 2023ના રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે તેના 2 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી અને મુસાફરલક્ષી અનેક અસુવિધાઓ સામે આવતી રહે છે. ત્યારે યાત્રી સેવા દિવસે જ સુવિધાઓના છીંડા સામે આવ્યા હતા. જેનાથી હવાઈ મુસાફરો પરેશાન થયા છે. હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશ કરતાની સાથે જ પ્રવેશદ્વારે શ્વાનોનું શયનાસન જોવા મળ્યુ હતું. જે બાદ એરપોર્ટ ટર્મિનલમાં ફ્લાઇટમાં જવા માંગતા હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સમયે ત્યાં રીપેરીંગ ચાલી રહ્યું હતું. જેઓને પૂછવામાં આવ્યું કે કેટલા સમયથી ઇલેક્ટ્રિક સીડી ખરાબ છે ત્યારે તેમણે હમણાં જ ઇલેક્ટ્રિક સીડી ખરાબ થઈ ગયાનો જવાબ આપ્યો હતો. એરપોર્ટ પરથી દૈનિક અવરજવર કરતી 9 જેટલી ફ્લાઇટમાં 3000 હવાઈ મુસાફરોની અવરજવર રહે છે. જેમાંથી દરરોજ 1500 જેટલા મુસાફરોને ફલાઇટમાં જવા માટે ટર્મિનલની ઇલેક્ટ્રિક સીડી ખોટવાઈ ગઈ છે. આટલી બધી ઓફિસ ચેરની ખરીદી શા માટે કરી?જે બાદ એરપોર્ટ ટર્મિનલના ATC ટાવરની બાજુમાં જ એક મોટો હોલ બંધ હાલતમાં જોવા મળ્યો. જેમાં મોટી સંખ્યામાં ઓફિસ ચેર પડેલી હતી. આ ઓફિસ ચેર નવીનકોર હાલતમાં છે. મહત્વની વાત એ છે કે આટલી બધી ઓફિસ ચેરની ખરીદી શા માટે કરવામાં આવી અને ખરીદી બાદ આ ખુરશીઓ શા માટે અહીં ઉપયોગ વિનાની પડેલી છે તે સૌથી મોટો સવાલ છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:49 am

250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા:મોરબી-રાજકોટમાં IT વિભાગનું લેવિસ-મેટ્રો ગ્રુપ પર મેગા સર્ચ, રૂ. 11 કરોડની રોકડ અને રૂ. 5 કરોડની જવેલરી જપ્ત કરાઈ

મોરબી અને રાજકોટમાં IT વિભાગના મેગા સર્ચ ઓપરેશને સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મોરબીના જાણીતા લેવિસ અને મેટ્રો સિરામિક ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધીમાં 11 કરોડની રોકડ અને 5 કરોડની જવેલરી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા છે, જે અત્યાર સુધીની સૌથી મોટી કરચોરીનો ખુલાસો કરે છે. હાલ આ તપાસ પૂર્ણતાનાં આરે છે. મેગા સર્ચ ઓપરેશનની વિગતોરાજકોટ ઈન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ કમિશનરના નેતૃત્વ હેઠળ, આ વર્ષનું સૌથી મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટ સહિત ગુજરાતના 250 જેટલા અધિકારીઓ, ટેકનિકલ ટીમ અને પોલીસ કાફલા સાથે, મોરબીના લેવિસ, લીવા, મેટ્રો, મોર્ડન, અને ઇડનહિલ ગ્રુપના 40 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ 40 સ્થળોમાંથી 30 તો માત્ર માલિકો અને ભાગીદારોના નિવાસસ્થાનો જ હતા, જે દર્શાવે છે કે આ તપાસ માત્ર વ્યાપારી એકમો પૂરતી સીમિત નથી. પ્રથમ દિવસે જ 3 કરોડની રોકડ જપ્તઆ સર્ચ ઓપરેશનની શરૂઆતમાં જ, પ્રથમ દિવસે રાજકોટમાં રહેતા એક ભાગીદારના ઘરેથી રૂ. 3 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી હતી. ત્યારબાદ તપાસ આગળ વધતાં બીજા દિવસે અન્ય સ્થળોએથી પણ મોટી માત્રામાં રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી, જેનો આંકડો 11 કરોડ રૂપિયાની રોકડ અને 5 કરોડની જવેલરી પર પહોંચ્યો છે. આ તપાસમાં સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ધમાસણા, તેમજ ધીરુભાઈ રોજમાળા અને જીતુભાઈ રોજમાળા સહિતના ભાગીદારો અને તેમના એકાઉન્ટન્ટ્સ રડાર પર આવ્યા છે. 250 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યાઆ ગ્રુપ દ્વારા ટાઇલ્સના ઉત્પાદનમાં ઓછો નફો બતાવી મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ઈન્કમટેક્સ વિભાગે છેલ્લા પાંચ મહિનાથી આ ગ્રુપના હિસાબોની ઝીણવટભરી તપાસ કરી હતી, અને મહિનાઓના હોમવર્ક બાદ આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો અને દસ્તાવેજો મળી આવ્યા છે, જે કરચોરીના કદને દર્શાવે છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે ડિજિટલ ડેટાનું અવલોકન હજુ પણ ચાલુ છે. ડિજિટલ ડેટા પર ધ્યાન કેન્દ્રિતઆવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ હાલ ડિજિટલ ડેટા મળવાની રાહ જોઈ રહ્યા છે. આ ગ્રુપના કોમ્પ્યુટરો અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી મળનારી માહિતી આ તપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ડિજિટલ પુરાવાઓને આધારે, આ તપાસ વધુ ઊંડાણપૂર્વક થઈ શકે છે અને કરચોરીના વધુ પડકારોનો પર્દાફાશ થઈ શકે છે. તપાસ પૂર્ણતાના આરેઆજથી વિવિધ એકમોમાં ચાલતા સર્ચ ઓપરેશનને આટોપી લેવામાં આવશે. આ મેગા સર્ચ ઓપરેશન શુક્રવારે સત્તાવાર રીતે Conclude થશે. જોકે, ડિજિટલ ડેટાનું અવલોકન અને અન્ય દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હજુ પણ ચાલુ રહેશે. મોરબીની બે આંગડિયા પેઢી પર પણ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરોડાથી સિરામિક, કન્સ્ટ્રકશન અને કોટન ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:47 am

હિંમતનગર નગરપાલિકાએ સ્વચ્છતા રેલી યોજી:વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પાલિકાના સભ્યો જોડાયા

હિંમતનગર નગરપાલિકા દ્વારા ગુરુવારે સવારે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બેરણા રોડ પર આવેલી ફેઈથ સ્કૂલથી શરૂ થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પાલિકાના સદસ્યો અને કર્મચારીઓ જોડાયા હતા. આ રેલી 'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયોજિત 'સ્વચ્છ પખવાડિયા'ના ભાગરૂપે યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.ફેઈથ સ્કૂલ ખાતેથી પાલિકાના સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સ્વચ્છતા અંગેના જાગૃતિ પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. આ રેલી બેરણા રોડ પર ફરીને પરત સ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી.આ રેલીમાં નગરપાલિકાના સદસ્યો, વિવિધ વિભાગના વડાઓ, સફાઈ કર્મીઓ અને પાલિકાના અન્ય કર્મચારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:46 am

મોરબી IT રેડમાં બે દિવસમાં 11 કરોડ રોકડ મળી:250 કરોડના બેનામી હિસાબ મળ્યા, 5 કરોડ જ્વેલરી જપ્ત; 32 બેંક એકાઉન્ટ સીલ

મોરબીમાં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા છે. આ ઉપરાંત, 11 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને 5 કરોડ રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. વિભાગે 32 બેંક એકાઉન્ટ સીલ કર્યા છે અને સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે, જેના કારણે બેનામી સંપત્તિનો આંકડો વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગની 40 જેટલી ટીમોએ મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં મોરબીના ચાર અગ્રણી ગ્રુપ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશનમાં તમામ ભાગીદારોના રહેણાંક મકાનો, ઓફિસો અને કારખાનાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.જે ચાર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાં લેવીસી સિરામિક ગ્રુપ, મેટ્રો સિરામિક ગ્રુપ, ઇડન ગ્રુપ અને મોર્ડન હોમ પ્લાન ગ્રુપનો સમાવેશ થાય છે. આ ગ્રુપોના ભાગીદારોના સ્થળોએ મંગળવારે સવારે 5 વાગ્યાથી તપાસ શરૂ થઈ હતી.અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે પેઢીઓ પર રેડ કરવામાં આવી છે તેના ડિજિટલ ડેટાનું અવલોકન હાલમાં ચાલી રહ્યું છે. આવતીકાલે રેડની કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે, પરંતુ બેનામી હિસાબો અંગેની તપાસ હજુ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:39 am

કાનડા ગામે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી:સાંસદ-ધારાસભ્યની હાજરીમાં કેક કાપી, ડાયરાનું આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનડા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેક કાપવામાં આવી હતી અને ડાયરાનું પણ આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ અને હિંમતનગરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ બુધવારે ઉજવાયો હતો. આ ઉજવણી સવારથી શરૂ થઈને મોડી રાત સુધી ચાલી હતી. ભાજપ કાર્યકરો અને પ્રજાજનોએ વિવિધ સેવા કાર્યો કરીને આ દિવસની ઉજવણી કરી હતી. બુધવારે રાત્રે કાનડા ગામે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અગ્રણીઓ સાથે પહોંચ્યા હતા. તેમણે ફોઈબાના મંદિરે દર્શન કરી પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ગામમાં ગ્રામજનો વચ્ચે પાંચ કિલોની કેક બાળકોના હસ્તે કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી વિજયભાઈ પંડ્યા, સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ ગજેન્દ્રસિંહ ચૌહાણ અને કાનડા ગામના યુવા સરપંચ મનહરસિંહ ભારતસિંહ ઝાલા સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:30 am

બગસરાની SBI બેંકમાં મોડી રાત્રે આગ લાગી:બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, નુકસાન અંગે તપાસ શરૂ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બસસ્ટેન્ડ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) શાખામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. બેંકમાં ચારે તરફ આગ ફેલાઈ ગઈ હતી અને ધુમાડો વધુ હોવાને કારણે ફાયર જવાનોને આગ પર નિયંત્રણ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. ઇમર્જન્સી ફાયર ટીમે વોટર બાઉઝર સાથે પાણીનો મારો ચલાવ્યો હતો અને પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરીને ધુમાડો ઓછો કર્યો હતો. બે કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ અમરેલી ફાયર ટીમ દ્વારા આગ સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લા ફાયર ઓફિસર એચ.પી. સરતેજા, સાગરભાઈ પુરોહિત, ભગવતસિંહ ગોહિલ, નિલેશભાઈ સાનિયા, હર્ષપાલસિંહ ગઢવી, કૃષ્ણભાઈ ઓળકીયા, મિલનભાઈ ગાંભવા અને ભીખુભાઈ સહિતની ફાયર ટીમના કર્મચારીઓ જોડાયા હતા. જોકે, આગને કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાનના ચોક્કસ અંદાજ અને કારણો જાણવા માટે આજે દિવસભર તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:18 am

મોડલ સુખપ્રીત કૌર આત્મહત્યા કેસમાં લિવ ઈન પાર્ટનરની ધરપકડ:યુવતીને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ આપ્યા

સુરતમાં સારોલીના કુંભારીયાની સારથી રેસિડન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં લિવ ઈન પાર્ટનર એવા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. મૃતકની બેગમાંથી પોલીસ અધિકારીને લખેલી અરજીમાં લિવ ઇન પાર્ટનર એવા પ્રેમી મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેઈલિંગથી કંટાળી મોડલ આપઘાત કરવા મજબૂર બની હોવાનું સામે આવ્યું હતું. સંબંધ તોડી નાંખવા બદલ મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા. સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે સારોલી પોલીસને આરોપીને ઝડપી પાડવામાં ચાર મહિને સફળતા મળી છે. 19 વર્ષીય સુખપ્રીત કૌર વર્ષ પહેલાં મોડલિંગના કામ માટે સુરત આવી હતીઆ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશ શિવપુરાની વતની 19 વર્ષીય સુખપ્રીત કૌર વર્ષ પહેલાં મોડલિંગના કામ માટે સુરત આવી હતી. તેણી સારોલી કુંભારીયા ગામ પાસે સારથી રેસિડેન્સીમાં ફ્રેન્ડ્સ સાથે રહેતી હતી. દરમિયાન 2 મે 2025ની રાત્રિએ ફ્લેટના રૂમમાં સુખપ્રિતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક સુખપ્રીતનાં માતા-પિતાને જાણ થતા સુરત આવી પહોંચ્યા હતાં. જે બાદ સ્મીમેર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી હતીમૃતકના પિતા લખવિંદરસિંહ બલવંતસિંહ (ઉ.વ. 58, રહે. શિવપુરી, મધ્યપ્રદેશ) અંતિમક્રિયા માટે સુખપ્રીત કૌરની ડેડબોડી અને ફ્લેટમાં રહેલો તેનો સામાન વતન મધ્યપ્રદેશ લઇ ગયા હતા. જ્યાં અંતિમક્રિયા સહિતની વિધિ આટોપ્યા બાદ તેણીનો સામાન ચેક કર્યો હતો. બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી. પોલીસ અધિક્ષક, ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે ગંભીર આરોપ મૂક્યા હતા. જેમાં મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા ઉપરાંત હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા. આ સાથે બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું. પોલીસે મહેન્દ્રના ઘરે તપાસ કરી તો તે ભાગી ગયો હતોઆ અરજી પિતાએ સારોલી પોલીસને સોંપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી. જોકે તે પોલીસ સુધી પહોંચી ન હતી. આમ, લિવ ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક-શારીરિક અત્યાચાર, બ્લેકમેઇલિંગથી કંટાળી મોડલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો. સારોલી પોલીસે સુખપ્રીત કૌરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે દુષ્પ્રેરણા ગુનો નોંધ્યો હતો. પોલીસે મહેન્દ્રના ઘરે તપાસ કરી તો ઘરને લોક મારી તે ભાગી છૂટયો હોવાનું જણાયું હતું. પોલીસને આરોપીને ઝડપી પાડવામાં ચાર મહિને સફળતા મળી છે. મોડલ પાસેથી મળેલી અરજીમાં શું લખ્યું હતું?હું સુખપ્રીત સંધુ, હું સુરતમાં મુખ્ય મોડલિંગ એજન્સીમાં મોડલ તરીકે કામ કરતી હતી, ત્યાં 6ઠ્ઠી ઓગસ્ટે મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ. અમે સારાં મિત્રો બની ગયાં અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં. લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું, હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો, પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો કે મારા અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરીશ. જાનથી મારી નાખવાની ધમકીઓ, અપશબ્દો વગેરે અને આ બહાને તે મને બ્લેકમેઇલ કરતો રહ્યો. 19 ડિસેમ્બરના રોજ તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને મને એક દિવસ સુધી ગોંધી રાખી અને મારા હાથ, પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી હતી. મારા પગમાં ડામ આપ્યા હતા. હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી. આ બધા પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઈન્ટરનેટ પર અપલોડ કરી દઇશ. તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી. ઘટના શું હતી?મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌર એપ્રિલના એન્ડમાં સુરત આવી હતી. સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથિ કોમ્પ્લેક્સના એક રૂમમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુરતમાં મોડલિંગ કામ અર્થે આવેલી સુખપ્રીત કૌરે ગત 2 મે, 2025ના રોજ ઘરમાં એકલી હતી, એ દરમિયાન પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોતાની બહેનપણીઓ જ્યારે રૂમ પર આવી ત્યારે સુખપ્રીતે દરવાજો નહીં ખોલતાં તેમણે પાડોશીઓને બોલાવી દરવાજો તોડ્યો હતો. દરમિયાન સુખપ્રીત લટકતી હાલતમાં જોવા મળી હતી. 4 મહિના બાદ આરોપીની ધરપકડઘટના બન્યા બાદ તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવતાં સારોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સુખપ્રીતના રૂમમાં પોલીસે તપાસ કરતાં તેમને કોઈપણ સુસાઇડ નોટ કે અન્ય કોઈ પુરાવા મળ્યા નહોતા. સુખપ્રીતના આપઘાતને પગલે મધ્યપ્રદેશના શિવપુરી રહેતા તેમના પિતાને જાણ કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક સુરત આવ્યા હતા. પરિવારે આપઘાત પગલે શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ લિવ ઇનમાં રહેતા પ્રેમી મહેન્દ્ર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને ચાર મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:18 am

નેત્રંગમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા:પોલીસે ₹14,400નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, નેત્રંગ જવાહર બજારમાં કિરીટ પાટણવાડીયાના કેળાની વખારની પાછળ આવેલી રેલ્વેની જગ્યામાં આવેલા તૂટેલા મકાનમાં કેટલાક ઇસમો પત્તા પાના વડે રૂપિયા લગાડી જુગાર રમતા હતાં. આ બાતમીના આધારે પોલીસ દ્વારા પંચોને સાથમાં રાખી સ્થળ ઉપર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જુગાર રમતા પાંચ શખ્સોને સ્થળ પર જ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી પત્તા પાના નંગ–52, દાવ ઉપરના રોકડા રૂપિયા રૂ. 4,000 તથા અંગઝડતી દરમિયાન મળેલા રોકડા રૂપિયા રૂ. 10,400 આમ કુલ રૂ. 14,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી અજયભાઇ રાકેશભાઇ દોસી, કિરીટ બાબરભાઇ નાથાભાઇ પાટણવાડીયા,ઇમરાન ઇકબાલ ઉમરભાઇ મેમણ,સુરેશ ઉર્ફે પાયલી વિજયભાઇ ખજલીયાભાઇ વસાવા અને કાંતિ મગનભાઇ છોટુભાઇ પંચાલ તમામ આરોપીઓને સ્થળ ઉપરથી જ ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગાર અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:13 am

બોટાદનાં નાગલપર ગામેથી દારૂનો જથ્થો પકડાયો:LCB પોલીસે રહેણાકી મકાનમાંથી રૂ.3.14 લાખનો દારૂ જપ્ત કર્યો, બે સામે ફરિયાદ

બોટાદ LCB પોલીસે નાગલપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં રૂ.3.14 લાખની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, નાગલપર ગામમાં રહેતા વિજય નાથાભાઈ સાંકળીયાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, મકાનમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 264 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે મકાન માલિક વિજય નાથાભાઈ સાંકળીયા અને રવિભાઈ ખાચર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂનો જથ્થો સામેલ છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 9:53 am

કલેક્ટર ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ભાલપરા ગામે રાત્રિસભા યોજાઈ:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, વિવિધ યોજનાઓની માહિતી અપાઈ

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકાના ભાલપરા ગામે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકપ્રશ્નોને વાચા આપવાનો અને નાગરિકલક્ષી સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવાનો હતો.ગ્રામજનોને સરકારી કચેરીઓ સુધી આવવું ન પડે તે માટે કલેક્ટરે રાત્રિસભાના માધ્યમથી ભાલપરા ગામે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે રૂબરૂ લોકોના પ્રશ્નો સાંભળીને તેમની સમસ્યાઓ જાણી હતી.આ રાત્રિસભામાં ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય સુવિધાઓ, ભાલકા મંદિરથી ચામુંડા સોસાયટીને જોડતા રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા, સફાઈને લગતા પ્રશ્નો અને સમયસર પીવાના પાણીની સમસ્યાઓ મુખ્ય હતી. કલેક્ટર ઉપધ્યાયએ ગ્રામજનોના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે અધિકારીઓને સમસ્યાઓનું શક્ય તેટલી ઝડપથી નિરાકરણ લાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, કલેક્ટરે આંગણવાડીની બહેનોને જનની સુરક્ષા યોજના સહિતની મહિલા અને બાળકોલક્ષી સરકારી યોજનાઓની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને તેનો મહત્તમ લાભ મળે તે રીતે કાર્ય કરવા સૂચનાઓ આપી હતી. રાત્રિસભા દરમિયાન ગ્રામજનોને 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. દર બુધવાર અને શુક્રવારે યોજાતા મમતા દિવસ, શાળામાં અપાતી શિષ્યવૃત્તિઓ, ગણવેશ અને ભોજન અંગેની માહિતી પણ અપાઈ હતી. ખેતીવાડી વિભાગની કૃષિ વિષયક યોજનાઓ અને ગામના વિકાસ માટેની રૂર્બન યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ રાત્રિસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ ડી.પી. ચૌહાણ અને અજય શામળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન. બરૂઆ, અગ્રણી વિક્રમભાઈ પટાટ, સરપંચ અને ખેતીવાડી, માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ, સિંચાઈ સહિતના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 9:41 am

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં મહામૃત્યુંજય યજ્ઞ:પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન

વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે યુની. ના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ એ જણાવ્યું હતું કે, યજ્ઞ-યાગાદિ સમિતિ દ્વારા પ્રધાનમંત્રીના સ્વસ્થ અને દીર્ઘાયુષ્યની કામના માટે આ વિશેષ આયોજન કરાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ સહિત અનેક લોકો યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવની પ્રેરણાથી આ યજ્ઞ સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 9:37 am

અકસ્માત કરનાર પોલીસકર્મીની કારમાંથી બિયરની બોટલ મળી:અમદાવાદમાં કારની ટક્કરે રિક્ષા પલટી જતાં ચાલક બેભાન; લોકોએ આરોપીને પોલીસને સોંપ્યો, નશામાં હોવાનો આક્ષેપ

અમદાવાદના વિશાલા સર્કલ પાસે 17 સપ્ટેમ્બરની મોડીરાતે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારચાલકે પૂરપાટ ઝડપે આવીને રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી જતા ચાલક ઘાયલ થતાં બેભાન થઈ ગયો હતો.અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થતાં કારચાલકને ઝડપીને પોલીસને સોપવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કારચાલક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેની કારમાંથી બિયરની બોટલ અને કારની નંબરપ્લેટ પણ મળી આવી હતી. પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો આક્ષેપ સ્થળે હાજર લોકોએ કર્યો છે. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લોકોએ પોલીસકર્મીને પકડી પોલીસને સોંપ્યોશહેરના વિશાલા સર્કલ પાસે સિટીગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી પાસે એક કારચાલકે પૂર ઝડપે આવીને રિક્ષાચાલકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, રિક્ષા પલટી ખાઈને પડી ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થઈને બેભાન થઈ ગયો હતો. બાદમાં આસપાસના લોકોએ ભેગા થઈને રિક્ષાચાલકને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો, જ્યારે કારચાલકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. કારમાંથી બિયરની બોટલ, વર્ધી અને નંબરપ્લેટ મળીપોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અકસ્માત કરનાર પોલીસ કર્મચારી પ્રકાશ રબારી હોવાનું સામે આવ્યું હતું, જે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અકસ્માત કરનાર પોલીસ કર્મચારીની ગાડીમાંથી પોલીસની વર્ધી, બિયરની બોટલ અને નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં હોવાનું આસપાસના લોકોએ આક્ષેપ કર્યો હતો. પોલીસકર્મીના નશામાં હતો કે કેમ? તે રિપોર્ટ બાદ ખબર પડશેહાલમાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે અકસ્માત કરનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ? તે મામલે પણ પોલીસ કર્મચારીનો બ્લડ રિપોર્ટ લઈને તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ અમદાવાદમાં વધતા ગુનોઓ અને લોકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે, ત્યારે પોલીસકર્મીઓ નશાની હાલતમાં ઝડપાતા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊઠી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 9:34 am

'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાનનો શુભારંભ:દેવળીયા ખાતે નાયબ દંડકના હસ્તે પ્રારંભ, લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરાયા, સ્વચ્છતાના શપથ લેવડાવાયા

અમરેલી જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાનનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો છે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ અમરેલીના દેવભૂમિ દેવળીયા ખાતે 17 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના હસ્તે થયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ્ય જીવનમાં સ્વચ્છતા અને સ્વસ્થતા લાવવાનો છે. આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 'સ્વચ્છોત્સવ' થીમ હેઠળ લોકોને સ્વચ્છ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ સ્વૈચ્છિક જનભાગીદારીથી વિવિધ સ્થળોની સામૂહિક સફાઈ હાથ ધરી સ્વચ્છતાના શપથ લીધા હતા. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના તમામ તાલુકાના એક-એક ગામમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજી 'સ્વચ્છતા હી સેવા-2025'નો પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમોમાં ધારાસભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, વિવિધ સમિતિના ચેરમેન, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, સ્થાનિક આગેવાનો, દાતાઓ, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓને કાયમી ધોરણે સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળા બનાવી રોગચાળા મુક્ત કરવાનો છે. તેમાં કચરાનો કાયમી નિકાલ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, ઉકરડા અને પાણી ભરાયેલા ખાડા-ખાબોચિયા દૂર કરવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવાનો, સ્વયંસેવકો અને સમુદાયના સભ્યોને આ અભિયાનમાં જોડાઈ શ્રમદાન આપવા અપીલ કરવામાં આવી છે, જેથી ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, સ્વચ્છતા અને હરિયાળા પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી શકાય. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના જળ શકિત મંત્રાલયના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે બીજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંઘીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંઘાને રાજય સરકાર દ્વારા કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી હસ્તકની સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના દ્વારા 17 મી સપ્ટેમ્બર 2025થી 31 મી ઓકટોબર 2025 સુઘી સ્વચ્છતા હી સેવા - 2025નું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 9:29 am

લાઠીમાં પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠિ:કૃષિ સખી અને સી.આર.પી.ને મોડલ ફાર્મ પર તાલીમ અપાઈ

અમરેલી જિલ્લાના લાઠી ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠિમાં લાઠી તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાથે સંકળાયેલા કૃષિ સખી અને સી.આર.પી.ને પ્રાકૃતિક કૃષિ સંબંધિત તાલીમ આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ કરતા કાળુભાઈ હુંબલના ખેતરે આ ગોષ્ઠિ યોજાઈ હતી. તાલીમાર્થીઓ માટે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત, જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે પણ વિગતવાર જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ અમરેલીના લાઠી તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક વિકાસ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 9:08 am

હારીજમાં ખાતર લેવા આવેલા ગ્રાહકે વેપારીને માર માર્યો:આધાર કાર્ડ માંગતા ગ્રાહકે ઉશ્કેરાઈ પીઓએસ મશીન તોડી નાખ્યું

હારીજ નગરમાં એક એગ્રોની દુકાને ખાતર લેવા આવેલા ગ્રાહક પાસે આધાર કાર્ડ માંગતા દુકાનદારને માર માર્યો હતો. ગ્રાહકે ઉશ્કેરાઈને આધાર કાર્ડ વેરિફિકેશન માટે ઉપયોગમાં લેવાતું પીઓએસ મશીન પણ તોડી નાખ્યું હતું. આ ઘટના અંગે દુકાનદાર હરિભાઈ મફાભાઈ પટેલે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હારીજ હાઈવે ચાર રસ્તા નજીક આવેલા એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે દુકાનદાર હરિભાઈ પટેલ સવારે હાજર હતા. તે સમયે હારીજના કુકરાણા ગામનો એક વ્યક્તિ ડીએપી ખાતરની દસ થેલીઓ લેવા આવ્યો હતો. દુકાનદારે નિયમ મુજબ ગ્રાહક પાસે આધાર કાર્ડની માંગણી કરી હતી. આધાર કાર્ડ માંગતા ગ્રાહક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે વેપારીને કહ્યું કે, આધાર કાર્ડ શાનું હોય? તારે ખાતર આપવાનું જ હોય. વેપારીએ તેને સમજાવવાનો પ્રયાસ કરતા ગ્રાહકે ગાળો બોલી, છાતીમાં પકડી ધક્કો મારી માર માર્યો હતો અને ધમકી પણ આપી હતી. આ દરમિયાન ગ્રાહકે દુકાનના ટેબલ પર પડેલું પીઓએસ મશીન તોડી નાખ્યું હતું, જેના કારણે વેપારીને આશરે 24,000 રૂપિયાનું નુકસાન થયું હતું. ઘટના બાદ વેપારી હરિભાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે દુકાનની મુલાકાત લીધી હતી અને વેપારીના ફોનમાં રહેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં ગ્રાહક દ્વારા પીઓએસ મશીન તોડવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 9:07 am

PM સ્વનિધિ યોજનાનો વ્યાપ વધારવા પ્રયાસ:પાટણના ફેરીયાઓને ધંધા માટે બેંકો દ્વારા લોન અપાશે

પાટણ નગરપાલિકાની સમાજ સંગઠન શાખા દ્વારા શહેરી વિસ્તારના ફેરીયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય યોજનાનો વ્યાપ વધારવાનો અને વધુને વધુ ફેરીયાઓને તેમના વ્યવસાયના વિકાસ માટે બેંક લોન મેળવવામાં મદદ કરવાનો હતો. આ પ્રસંગે પાટણની બેંકોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ યોજના હેઠળ શાકભાજી, ફળ, કટલરી, કાપડ, ચા-નાસ્તાની લારીવાળા, હેર કટિંગ કેબિન, ફૂલવાળા, સાયકલ રિપેરિંગ કેબિન અને ગલ્લાવાળા સહિતના તમામ પ્રકારના ફેરીયાઓને લાભ મળશે. અગાઉ રૂ. 10 હજાર, રૂ. 15 હજાર અને રૂ. 50 હજારની લોન અપાતી હતી, જેમાં હવે વધારો કરીને રૂ. 15 હજાર, રૂ. 25 હજાર અને રૂ. 50 હજારની લોન આપવાની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ફેરીયાઓને અપીલ કરી હતી કે તેઓ લોનના હપ્તા નિયમિત ભરીને બીજી લોન મેળવી પોતાના ધંધાનો વિકાસ કરે. તેમણે જણાવ્યું હતું કે, યોજનાઓની પૂરતી માહિતીના અભાવે ઘણા ફેરીયાઓ લાભ મેળવી શકતા નથી, તેથી આવા લોન મેળા દ્વારા તેમને પૂરતું માર્ગદર્શન આપવું જરૂરી છે. આ પ્રસંગે પાટણના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ ફૂટ, શાકભાજી અને ખાદ્યપદાર્થોના ફેરીયાઓને તેમની કચેરીમાંથી ધંધા માટેના લાયસન્સ વહેલી તકે મેળવી લેવા ફરજિયાત હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 9:05 am

ઉમરગામ હોસ્પિટલ પ્રોજેક્ટમાં અવરોધ:UIA પ્રમુખે વીડિયો મેસેજ દ્વારા સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો

ઉમરગામમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણાધીન સુવિધા સંપન્ન હોસ્પિટલ પ્રોજેક્ટમાં કેટલાક લોકો દ્વારા અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ અંગે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ના પ્રમુખ નરેશભાઈએ એક વીડિયો મેસેજ દ્વારા લોકોને જાણકારી આપી છે. આ હોસ્પિટલ પ્રોજેક્ટ ઉમરગામ તાલુકાના લોકોના હિતમાં શરૂ કરવામાં આવ્યો છે. UIA દ્વારા પ્રમુખ નરેશભાઈના નેતૃત્વ હેઠળ દાતાઓના સહયોગથી આ અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જે ઉમરગામની તાત્કાલિક જરૂરિયાત હતી. પ્રમુખ નરેશભાઈએ UIA ગ્રુપમાં શેર કરેલા વીડિયો મેસેજમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં અડચણો ઊભી કરવામાં આવી રહી છે. તેમણે આ મામલે સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. નરેશભાઈએ ઉમરગામના હિતમાં લોકોને આગળ આવવા અને આગામી સમયમાં યોજાનારી સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. તેમણે લોકોને ઉમરગામના હિતમાં સત્યને સમર્થન આપવા વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 8:53 am

1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ:વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેથાપુરના સંજરી પાર્ક નજીકથી દબાણ હટાવવાનું શરૂ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરૂવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત એક હજાર કરોડની એક લાખ ચોર મીટર જગ્યા ખુલ્લી કરાશે. હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો: SPઆ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, આજ સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયા છે તે દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમો કોર્પોરેશન તરફથી અને આરએન્ડબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ કામગીરી માટે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. આ કાર્યવાહીનો હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. 700થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાતગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે એક મોગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ મેગા ડિમોલિશન માટે 10 જેસીબી, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. અગાઉ દબાણકારોને નોટિસ ફટકારાઈ હતીઆ ડ્રાઈવમાં 115 જેટલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ 115 દબાણકર્તાઓને ગેરકાયદેસર બાંધકામોના સંબંધમાં આધાર-પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી માટે 700 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. દબાણો હટાવવા 10 જેસીબી કામે લાગીપોલીસ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા, દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ છે. આ ડિમોલિશન ડ્રાઈવમાં પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ સહિત કુલ 1000 જેટલા સરકારી કર્મચારીઓ જોડાયા છે. આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે 10 જેસીબી અને 15 જેટલા ટ્રકની મદદ લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 8:52 am

લાજપોર જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડમાં આપઘાત:2017થી કેદ હત્યાના આરોપીએ જેલમાં જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

સુરતમાં લાજપોર મધ્યસ્થ જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં હત્યાના ગુનાના આરોપીએ 17 સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આરોપી વર્ષ-2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો. કેદી બેભાન હાલતમાં હતોમળતી માહિતી અનુસાર, લાજપોર મધ્યસ્થ જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળીયા (ઉં. વ.42 રહે. કાજીપુર કોટડા સ્ટ્રીટ રામપુર સુરત) રાત્રે બેભાન હાલતમાં મળ્યો હતો. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઇ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ અપ હતા. ત્યારે હવલદાર શક્તિસિંહ જે. કાઠીયાએ હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાનીને જાણ કરાઈ હતી. જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જેલના બંધ કેદીઓમાં પણ ફફડાટહેમંત માંગરોળીયા વિરૂદ્ધ વર્ષ-2017માં કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો. જેથી હેમંત ગત 10 એપ્રિલ, 2017થી લાજપોર જેલમાં બંધ હતો. હાલમાં કેટલાક સમયથી તેને જેલમાં જ હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં રખાયો હતો. બનાવની જાણ હાજર પોલીસને થતાં જ ઉચ્ચ અધિકારીઓ તથા સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. આ સાથે જ જેલના બંધ કેદીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો. સચિન પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરીઆરોપી હેમંત ઉર્ફે ડેની માંગરોળીયાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી હેમંત ઉર્ફે ડેનીએ ક્યાં જવાબદાર પરિબળોના કારણે આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે સચિન પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 8:45 am

સિટી એન્કર:રત્ન અને ઝવેરાત ઉદ્યોગ મહારાષ્ટ્ર માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર

ધ જેમ એન્ડ જ્વેલરી શો 2025 - દિવાળી આવૃત્તિની થીમ ત્યોહાર ભારત કે, બતાવો હમારા અપના - જ્યાં દરેક તહેવાર તેના ઝવેરાત શોધે છે છે. તેનું ઉદઘાટન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ આવૃત્તિ સર્જનાત્મકતા, વાણિજ્ય અને કારીગરીના અદભુત સંગમનું વચન આપે છે. ફડણવીસે કહ્યું, “રત્ન અને ઝવેરાત ઉદ્યોગ સમગ્ર ભારત માટે અને ખાસ કરીને મહારાષ્ટ્ર માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. તે અર્થતંત્રમાં યોગદાન આપવા સાથે રોજગારનું સર્જક પણ છે. આપણી સંસ્કૃતિમાં રત્નો અને ઝવેરાતની પરંપરા સિંધુ ખીણની સભ્યતા અને તેનાથી પણ પહેલાની છે, જેનો ઇતિહાસ 10,000-12,000 વર્ષથી વધુ જૂનો છે. સંગઠિત ક્ષેત્રમાં વધુ ખેલાડીઓને લાવવાના GJCના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. કાઉન્સિલ પ્રમાણપત્ર અને અન્ય મુખ્ય પહેલ માટે એક વ્યાપક માળખું રજૂ કરીને સરકાર સાથે કામ કરી શકે છે. અમે યુનિવર્સિટીના કુલપતિને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે કુશળ માનવશક્તિની ઉપલબ્ધતા વધારવા માટે GJC સાથે સહયોગ કરવા વિનંતી પણ કરીશું. જીજેસીના ચેરમેન શ્રી રાજેશ રોકડેએ જણાવ્યું હતું કે, GJS એક અગ્રણી પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે, જે વૈશ્વિક સ્તરે ઝવેરીઓ, છૂટક વિક્રેતાઓ અને નવીનતાઓને એક કરે છે. દિવાળી આવૃત્તિ ભારતના રત્ન અને ઝવેરાત ઉદ્યોગની શક્તિ અને વિશાળ સંભાવનાને પ્રકાશિત કરે છે. 400થી વધુ પ્રદર્શકની હાજરીGJS2025 ભારતભરમાંથી 400 થી વધુ પ્રદર્શકો, 10,000+ મુલાકાતીઓ અને 2,000+ હોસ્ટેડ ખરીદદારોને એકત્ર કરશે, જે અજોડ નેટવર્કિંગ અને સોર્સિંગ તકો પ્રદાન કરશે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ સમગ્ર ભારતમાં જેમ એન્ડ જ્વેલરી વેપારના વિકાસને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તે એક ફેડરેશન છે જે વાજબી વેપાર પ્રથાઓના વિવિધ પાસાઓનું સંચાલન અને વ્યવસાયના કાર્યક્ષમ સંગઠન માટે એકત્ર થયું છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 8:02 am

આયોજન:મહાપાલિકા ચૂંટણીના 3 તબક્કાના લીધે 3 મહિનાથી વધુ આચારસંહિતાની શક્યતા

ઈવીએમની ઓછપના કારણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ત્રણ તબક્કામાં લેવા બાબતે રાજ્ય ચૂંટણી પંચ તરફથી વિચાર ચાલુ છે. કેન્દ્રિય ચૂંટણી પંચ તરફથી બેથી અઢી લાખ જેટલા વધારે ઈવીએમ મળશે તો ચૂંટણી અને આચારસંહિતાનો સમયગાળો ઓછો કરવો શક્ય થશે. રાજ્યની તમામ જિલ્લા પરિષદ, નગરપાલિકા, મહાપાલિકાની ચૂંટણીઓ 31 જાન્યુઆરી 2026 સુધી લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. એ પછી કોઈ પણ કારણોસર મુદતવધારો નહીં મળે એમ જજ સૂર્યકાંત અને જજ જોયમાલ્યા બાગની ખંડપીઠે બજાવ્યું છે. તેથી સમયનો વેડફાટ કર્યા વિના બધી ચૂંટણીઓ તરત પાર પાડવા પંચે પ્રક્રિયા શરૂ કરી છે. અત્યાર સુધી જિલ્લા પરિષદની વોર્ડ રચના પૂરી થઈ છે અને અધ્યક્ષ પદના આરક્ષણ પણ જાહેર થયા છે. તેથી અંતિમ મતદારયાદી જાહેર કર્યા પર ચૂંટણી લેવામાં કોઈ અડચણ નથી. પણ પંચ સમક્ષ મુખ્ય સમસ્યા ઈવીએમની ઉપલબ્ધતાનો છે. પંચ પાસે ફક્ત 65 હજાર ઈવીએમ હોવાનું સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું. રાજ્યમાં ચૂંટણી માટે 90 હજારથી વધારે મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવે છે. લોકસભા ચૂંટણીના સમયે મુંબઈ સહિત અન્ય ઠેકાણે મતદાન કેન્દ્રમાં ગિરદી થવાથી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી હતી. તેથી દરેક કેન્દ્ર માટે ઓછામાં ઓછા એક ઈવીએમ ગણીયે તો લાખેક ઈવીએમની જરૂર પડશે. તેથી કેન્દ્રિય ચૂંટણી પંચ પાસેથી અન્ય રાજ્યોમાંથી ઈવીએમ મગાવવામાં આવ્યા છે. એ નવેમ્બરમાં ઉપલબ્ધ થશે. આ વર્ષે દિવાળી ઓક્ટોબરમાં છે. એ પછી સ્કૂલ-કોલેજમાં એક-બે અઠવાડિયાની રજા હશે. તેથી પહેલા તબક્કામાં નગરપાલિકાની ચૂંટણી નવેમ્બરમાં પાર પાડવામાં આવે એવી શક્યતા છે. મહાપાલિકાની ચૂંટણી છેલ્લેઈવીએમમાં નોંધાયેલા મત પણ પરિણામ જાહેર થયા બાદ થોડા દિવસ સુરક્ષિત રાખવા પડે છે. તેથી આ કાયદેસર સમયગાળો પૂરો થયા પછી જ ઈવીએમ બીજા તબક્કા માટે વાપરી શકાશે. તેથી ચૂંટણીનો બીજો ડિસેમ્બર અને ત્રીજો તબક્કો જાન્યુઆરીમાં લેવો પડશે. મહાપાલિકાની ચૂંટણી સૌથી છેલ્લે પાર પડે એવી શક્યતા છે. પણ ત્રણ તબક્કામાં ચૂંટણી થશે તો રાજ્યમાં આચારસંહિતા લાંબા સમય સુધી રહેશે અને રાજ્ય સરકારને ધોરણાત્મક નિર્ણય લેવા મુશ્કેલ થશે. ત્રણથી સાડા ત્રણ ઈવીએમની જરૂરત્રણથી સાડા ત્રણ લાખ ઈવીએમ કેન્દ્રિય ચૂંટણી પંચ ઉપલબ્ધ કરી આપે તો આ તબક્કા ઓછા કરીને ઓછામાં ઓછા સમયમાં ચૂંટણી લઈ શકાશે કે એવા વિકલ્પ પર પંચ તરફથી વિચાર ચાલુ છે. એક ચૂંટણીના પરિણામ જાળવવાની અસર અન્ય ચૂંટણી પર થઈ શકે છે. તેથી ચૂંટણીના તબક્કા ઓછા થાય તો રાજકીય પક્ષો માટે સગવડવાળું થશે અને આચારસંહિતાનો સમય ઓછો થશે તો રાજ્ય સરકાર માટે અડચણ ઊભી નહીં થાય.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 8:01 am

રાહુલ ગાંધી 7 મહિનામાં છઠ્ઠીવાર ગુજરાત આવશે:જૂનાગઢમાં શહેર-જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિરમાં બીજીવાર સામેલ થશે, 12મીએ કહ્યું હતું-કુસ્તીના નિયમ મુજબ ચાલો

ગુજરાતમાં 30 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને બેઠી કરવા હવે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ આવ્યા હતા. તેમણે 41 શહેર અને જિલ્લા પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા. હવે ફરીવાર આજે તેઓ આ શિબિરમાં ભાગ લેવા આવશે. રાહુલ ગાંધીનું આજે સવારે 11 વાગ્યે દિલ્હીથી રવાના થઈ બપોરે એક વાગ્યે કેશોદ એરપોર્ટ પર આગમન થશે. કેશોદ એરપોર્ટથી બાય રોડ જૂનાગઢ પહોંચશે. બપોરે બે વાગ્યે ભવનાથ તળેટીમાં આવેલ પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિર સ્થળ પર પહોંચશે. સાંજે 6 વાગ્યા સુધી રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેશે. બાદમાં સાંજે 6 વાગ્યે પ્રેરણાધામથી બાય રોડ પોરબંદર એરપોર્ટ જવા રવાના થશે. પોરબંદર એરપોર્ટથી 8 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધી સાથે સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક, અજય માકન સહીતના નેતાઓ ઉપસ્થિત રહેશે 12 સપ્ટેમ્બર શિબિરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કુસ્તીમાં એક નિયમ હોય છે જ્યારે સામે વાળો તમને મારે ત્યારે તમારે તેને મારવાનું હોતું નથી પણ બચવાનું હોય છે. ગુજરાત બીજેપીનો ગઢ છે અહીં તમારી ઉપર બીજેપીના નેતાઓ ગમે તેટલો દાવ લે તમે શાંતિથી તેમાંથી નિકળો બાકીનો રસ્તો આરામ થી મળી જશે. 4 કલાકમાં પ્રમુખોને કરાટે- યોગ કરાવ્યા, ચૂંટણીલક્ષી માર્ગદર્શન રાહુલ ગાંધી પ્રેરણાધામ પ્રશિક્ષણ શિબિરમાં બપોરે 3 કલાકે પહોંચ્યા હતા. બાદમાં શિબિર પૂર્ણ કરીને 7 કલાકે દિલ્હી જવા રવાના થયા હતા. આ 4 કલાક દરમિયાન રાહુલ ગાંધીએ શહેર- જિલ્લા પ્રમુખોને કરાટે, યોગ સહિતના શારિરીક કસરતો, આગામી સમયમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું. કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું?ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો BJPને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. 2014 અને 2019માં લોકસભા ચૂંટણીમાં એકપણ સીટ ન મળીવર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 48 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. 15 બેઠક પર ભાજપની જીત થઇ હતી તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. ભાજપને કોંગ્રેસ કરતાં 3.51 ટકા વધુ મળ્યા હતા. 2014ની ભાજપ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક કબજે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 26.2 ટકા વધુ મત મળ્યા હતા. 2009માં ભાજપનો વોટ શેર 47 ટકા હતો, જે 2014માં 12 ટકા વધીને 59 ટકા થઇ ગયો. જ્યારે 2009માં કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા, જે 2014માં 11 ટકા ઘટીને 33 ટકા થઇ ગયા. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 62 ટકા અને કોંગ્રેસને 32 ટકા મત મળ્યા હતા. તમામ 26 બેઠક પર ભાજપે ફરી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 30.1 ટકા વધુ મત મળ્યા હતા. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે લાજ રાખી હોય એમ 1 સીટ મેળવી હતી. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂરરાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠક પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી. 21 જૂને જાહેર કર્યા શહેર અને જિલ્લા-પ્રમુખગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી, જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન, 2025ના રોજ શહેર અને જિલ્લા-પ્રમુખોની વરણી કરી હતી, જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ)

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 8:00 am

આયોજન:વ્યાપારીઓ અને સંગઠનો દ્વારા રાષ્ટ્રીય સ્વદેશી અભિયાન શરૂ કરવાની ઘોષણા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવા અંગેના અનુરોધના પ્રતિસાદરૂપે દેશના અગ્રણી વ્યાપારી અને ગ્રાહક સંગઠનોએ રાષ્ટ્રીય સ્વદેશી અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી છે, જેની શરૂઆત 15 અને 16 સપ્ટેમ્બરના નાગપુર ખાતે આયોજિત બે દિવસની વ્યાપારી જુટાન કાર્યક્રમમાં ભારતભરમાંથી હાજર રહેલા વેપારીઓએ વેપાર અને વેપારીઓ સંબંધિત વિવિધ વિષયો પર ગંભીરતાથી મંથન કર્યું હતું, જેમાં હાજર વેપારી અગ્રણીઓએ દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવા અનેક સુઝાવ આપ્યા હતા અને દરેક એક જ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે આપણા દેશમાં બનેલી વસ્તુઓને આગળ વધારવી જોઈએ. ભારતમાં સ્વદેશી માલનો જ ઉપયોગ થવો જોઈએ એને એજ સંકલ્પ સાથે આ રાષ્ટ્રીય કાર્યક્રમ સંપન્ન થયો હતો. નાગપુર ખાતેની વેપારી પરિષદમાં વિગતવાર ચર્ચા કરી વેપારીઓ એક જ નિષ્કર્ષ કાઢી એક જ સંયુક્ત મતથી સંકલ્પ કરી ઘોષણા કરી કે આવી જ રીતે દેશના દરેક પ્રાંતમાં જિલ્લા સ્તર પર વ્યાપારી જુટાન કાર્યક્રમનું આયોજન કરી દરેક શહેર અને ગામડા સુધી યોજના બદ્ધ રીતે આ કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવશે અને આ કાર્યક્રમ સ્વદેશી સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ચલાવવામાં આવશે.આ હેતુની પૂર્તિ માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવશે જે વિસ્તારપૂર્વક વિચારણા કરી આખા દેશભરમાં સ્વદેશી સંકલ્પ યાત્રા અને સ્વદેશી મેળાનું આયોજન કરશે. હાલમાં સોશિયલ મિડિયાના થતા ઉપયોગને ધ્યાનમાં લઇ ડિજિટલ સ્વદેશી માટે દિલ્લીમાં કેન્દ્રીય કાર્યાલય બનાવવામાં આવશે. આ સમસ્ત અભિયાન માટે લાગનાર ધનરાશિ એકત્ર કરવા માટે સ્વદેશી વ્યાપાર કોષનું પણ નિર્માણ કરવામાં આવશે. ઓનલાઇન વેપારને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીઓ ને ધ્યાનમાં રાખી ઈ-કોમર્સ કંપનીઓ ઉપર નિયામક રાખવા જરૂરી હોવાથી સરકાર સમક્ષ એ-કોમર્સ કંપનીઓ માટે નિયામક આયોગ બનાવવા માટે રજુઆત કરવામાં આવશે. સંકલ્પ આગળ વધારવા યોજના“વ્યાપારી જુટાન “ કાર્યક્રમમાં ભારતીય ઉદ્યોગ, વ્યાપાર મંડળ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ - CAIT, સ્વદેશી જાગરણ મંચ, અને અન્ય સંસ્થાઓ સાથે ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટ્સ એસોસિયેશન - ગ્રોમા ના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ હાજર રહ્યા હતા. આ સમગ્ર સંકલ્પને આગળ વધારવા માટેની યોજના બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની નિમણૂક કરવામાં આવશે, એમ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:58 am

સરકારને અનામત વિવાદનો ઉકેલ શોધવાની સલાહ:સામાજિક તાણાવાણાને નબળું નહીં પડવા દેવું જોઈએઃ પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર પાર્ટીના પ્રમુખ શરદ પવારે અનામતના મુદ્દા પર ચાલી રહેલા આંદોલનોને કારણે રાજ્યમાં સામાજિક તાણાવાણા નબળા પડી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકારને આ મામલે ન્યાયી ઉકેલ શોધવાની સલાહ આપી છે. બુધવારે મરાઠવાડા મુક્તિસંગ્રામ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આજે આનંદનો દિવસ છે. પરંતુ કમનસીબે, એવું ચિત્ર નથી. હાલમાં, બે સમુદાયો વચ્ચે કોઈ કારણ વગર વાતાવરણ ઉશ્કેરવામાં આવી રહ્યું છે. તેથી, સરકારે બધામાં એકતા કેવી રીતે લાવવી તે જોવું જોઈએ, એમ તેમણે કહ્યું.મહાયુતિ સરકારે તાજેતરમાં મરાઠા સમુદાયને કુણબી અનામત આપવા માટે એક GR બહાર પાડ્યો છે. આ GR થી મરાઠાવાડામાં મરાઠા સમુદાયને હૈદરાબાદ ગેઝેટમાં નોંધાયેલા એન્ટ્રીઓના આધારે કુણબી એટલે કે OBC અનામત મેળવવાનો માર્ગ મોકળો થયો છે. પરંતુ તેનાથી OBC ભાઈઓ નારાજ થયા છે. તેમણે મરાઠા સમુદાયને OBC અનામત આપવાનો સખત વિરોધ કર્યો છે. વધુમાં, બંજારા સમુદાયે માંગ કરી છે કે તેમના સમુદાયને હૈદરાબાદ ગેઝેટમાં નોંધાયેલા એન્ટ્રીઓ મુજબ ST એટલે કે અનુસૂચિત જનજાતિ અનામત આપવામાં આવે. આદિવાસી ભાઈઓએ આનો વાંધો ઉઠાવ્યો છે. જ્યારે આ મામલે એક સમુદાય બીજા સમુદાય સામે છે, ત્યારે શરદ પવારે સરકારને આ મુદ્દાનો વાજબી ઉકેલ શોધવા અને બધામાં એકતા બનાવવા અપીલ કરી છે. શરદ પવારે કહ્યું, આજે મુક્તિ યુદ્ધનો દિવસ છે. આજે આપણા માટે આનંદનો દિવસ છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:58 am

પોલીસ બંદોબસ્ત:શિવાજી પાર્કમાં મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર રંગ ફેંકાતાં તંગદિલી

દાદર સ્થિત શિવાજી પાર્ક વિસ્તારમાં બુધવારે સવારે અજાણ્યા શખસે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનાં પત્ની મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના સવારે 6.10 થી 6.30 વચ્ચે બની હતી. 6.10 વાગ્યા સુધીના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કોઈ શંકાસ્પદ હલચલ જોવા મળી નહોતી, પરંતુ ત્યાર બાદના ફૂટેજમાં એક સંદિગ્ધ વ્યક્તિ દેખાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું. ઘટનાની જાણ થતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના કાર્યકરો સ્થળ પર ભેગા થયા હતા. ઘટના પછી, આ વિસ્તારમાં અનિચ્છનીય ઘટના ટાળવા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઠાકરે જૂથના સાંસદ અનિલ દેસાઈએ આ ઘટનાની કડક નિંદા કરતાં કહ્યું કે, આ કૃત્ય કાયરતાનું પ્રતીક છે. સરકાર કાર્યક્રમોમાં વ્યસ્ત છે, અને મુંબઈની સુરક્ષા પર ધ્યાન આપતી નથી. આ માત્ર પ્રતિમા પર હુમલો નથી, પરંતુ રાજ્ય સરકારની બેદરકારીનું પ્રતિબિંબ છે.સ્થાનિક વિધાનસભ્ય મહેશ સાવંતે જણાવ્યું કે, પોલીસ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી છે કે આરોપીની વિગતો બહાર આવશે. સીસીટીવીમાં 6.10 સુધી બધું સામાન્ય હતું, એટલે ઘટના ત્યાર બાદ બની છે. પોલીસે લાલ રંગ ફેંકનાર શખ્સની ઓળખ કરવા તાકીદે પગલાં લીધાં છે, એમ તેમણે કહ્યું.પોલીસે જણાવ્યું કે જો સેના (યુબીટી) દ્વારા ઔપચારિક ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે, તો તેઓ સ્વયંપ્રેરિત (સુઓ મોટો) કાર્યવાહી કરશે. નજીકના અનેક સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ બહારના વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. સેના (યુબીટી)ના કાર્યકરોએ જાહેર કર્યું છે કે તેઓ મીનાતાઈની પ્રતિમાને અપમાનિત કરવાનો પ્રયત્ન કરનાર સામે રાજ્યવ્યાપી આંદોલન કરશે. મહત્ત્વનું છે કે, મીનાતાઈ ઠાકરેનું 1995માં અવસાન થયું હતું. તેઓ શિવસેના કાર્યકરો માટે માતૃત્વ પ્રતીક તરીકે પૂજનીય ગણાય છે. શિવાજી પાર્ક ખાતે તેમની પ્રતિમા વર્ષોથી ઊભી છે, અને સેના પક્ષ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે. જ્યાં દરરોજ સૈનિકો તેમ જ સ્થાનિક લોકો શ્રદ્ધાંજલિ અર્પવા આવે છે. આ ઘટનાને લઈને રાજ્યમાં રાજકીય તણાવનું વાતાવરણ ઊભું થયું છે. પોલીસના જણાવ્યા મુજબ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર અજાણ્યા શખસે બુધવારે સવારે રંગ ફેંક્યો હતો. આ પ્રકરણને લઈને ઉદ્ધવ ઠાકરે જાતે સ્થળ પર પહોંચ્યા અને પૂતળાની મુલાકાત લઈ ઘટનાની માહિતી લીધી. તેમણે કડક શબ્દોમાં આ કૃત્યની નિંદા કરી. ઉદ્ધવ ઠાકરે જણાવ્યું કે, આ અત્યંત નિદંનીય ઘટના છે. આ પાછળ બે પ્રકારના લોકો હોઈ શકે છે, એક તો એવા બેદરકાર લોકો, જેમને પોતાના માતા-પિતાનું નામ લેતા પણ શરમ આવે છે. અથવા પછી જેમ બિહારમાં મોદીજીની માતાના અપમાન પછી રાજ્યમાં તણાવ પેદા કરવાનો પ્રયત્ન થયો હતો, તેમ અહીં પણ મહારાષ્ટ્રને અસ્થિર કરવા કોઈનો હેતુ હોઈ શકે છે. તેમણે આગળ કહ્યું કે, હાલ મામલે પોલીસ તપાસ કરી રહી છે, અને ઝડપથી આરોપીની ઓળખ બહાર આવશે. અમે સૌને શાંત રહેવા અપીલ કરીએ છીએ. આગળ શું થાય તે જોશું, એમ તેમણે ઉમેર્યું. રાજ ઠાકરેનું પોલીસને અલ્ટીમેટમસ્વર્ગસ્થ મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ લગાવવાનો પ્રયાસ થયા બાદ, મનસે પ્રમુખ રાજ ઠાકરે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યાં તેમણે બરાબર શું થયું, અને ઘટના કેવી રીતે બની અને પોલીસે અત્યાર સુધી શું પગલાં લીધા છે, તેની સમીક્ષા કરી. તેમણે પોલીસને 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવા માટે અલ્ટીમેટમ પણ આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:57 am

રાહત:લોન અકાઉન્ટને ફ્રોડ જાહેર કરવાના કેસમાં અનિલ અંબાણીને રાહત

મુંબઈ હાઈ કોર્ટે બુધવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સને તાત્કાલિક રાહત આપતાં બેંક ઓફ બરોડાને 4 સપ્ટેમ્બરના તેના આદેશને આધારે કોઈ પણ આક્રમક પગલાં નહીં ભરવા જણાવ્યું છે. બેંચે જણાવ્યું કે આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે યોજાશે અને ત્યાં સુધી બેંક કોઈ કાર્યવાહી કરશે નહીં. ન્યાયમૂર્તિ રિયાઝ છાગલા અને ન્યાયમૂર્તિ ફર્હાન દુબાશની ડિવિઝન બેંચે સ્પષ્ટ કર્યું કે, બેંક 23 સપ્ટેમ્બર સુધી પોતાનું જવાબી એફિડેવિટ ફાઈલ કરશે, ત્યાર બાદ જ કેસની આગળની કાર્યવાહી થશે. અંબાણીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી કે બેંકે તેમની કંપનીના લોન અકાઉન્ટને ફ્રોડ જાહેર કરવાનું ગેરકાયદેસર છે. બેંકે ગેરઉપયોગ, ફંડ ડાયવર્ઝન, અનધિકૃત ટ્રાન્ઝેક્શન અને ઈન્ટર-કોર્પોરેટ ડિપોઝિટના દુરુપયોગના આરોપો લગાવ્યા છે. અંબાણી તરફથી સિનિયર એડવોકેટ નવરોઝ સીરવાઈએ દલીલ કરી હતી કે, આ મામલે તૈયાર થયેલો બીડીઓ રિપોર્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (એસબીઆઈ) એકલા પોતાના માટે બનાવ્યો હતો, કારણ કે તે લોન આપનાર બેંકોના કન્સોર્શિયમનું નેતૃત્વ કરતી હતી. પરંતુ બેંક ઓફ બરોડા એ કન્સોર્શિયમનો ભાગ જ નહોતી, તેથી તેની કાર્યવાહી ગેરકાયદેસર છે.બીજી તરફ, બેંક ઓફ બરોડાના વકીલે દલીલ કરી કે તેઓએ પહેલેથી જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જાણ કરી દીધી છે, અને એસબીઆઈએ તો પહેલેથી જ આ અકાઉન્ટને ફ્રોડ ગણાવીને સીબીઆઈનો સંપર્ક કર્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:56 am

તાત્કાલિક પગલાં લેવાનો આદેશ:વિરોધી પક્ષના નેતાઓ દ્વારા પર રંગ ફેંકનાર સામે તુરંત પગલાં લેવા માગ

મુંબઈના દાદર શિવાજી પાર્ક ખાતે સ્થિત શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનાં પત્ની મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર અજાણ્યા શખસે લાલ રંગ ફેંક્યાની ઘટનાએ રાજકીય તોફાન મચાવ્યું છે. રાજ્ય સરકારથી લઈને વિરોધ પક્ષો સુધીના અનેક નેતાઓએ આ કૃત્યની કડક નિંદા કરી છે. વિરોધી પક્ષે આરોપી સામે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે.ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએે પણ આ ઘટનાને લઈને ગંભીરતા દર્શાવી અને પોલીસને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો. મીનાતાઈની પ્રતિમા પર રંગ ફેંકવાનું કૃત્ય દુર્ભાગ્યપૂર્ણ છે. તેની જેટલી નિંદા કરવી જોઈએ તેટલી ઓછી છે. પોલીસને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે, એમ શિંદેએ જણાવ્યું.આ અમારા માટે ભાવનાત્મક મુદ્દો છે. મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર રંગ ફેંકનાર વ્યક્તિની શોધ શરૂ કરવામાં આવી છે, અને કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે ખાતરી આપી. સીસીટીવી દ્વારા આરોપીઓની શોધ ચાલુ છે, કલર કોણે ફેંક્યો, આ પાછળ કોણ છે? તે ટૂંક સમયમાં પ્રકાશમાં આવશે, એમ ભાજપના નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું.વિકૃત વૃત્તિઓ હંમેશાં આવા કામ કરે છે. તેથી, તેમને શોધીને તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. મીનાતાઈ ઠાકરે શિવસૈનિકોનું ધાર્મિક સ્થળ છે. જો કોઈ આવી વિકૃતિ કરી રહ્યું છે જેનાથી આવા ધાર્મિક સ્થળો અને લાગણીઓને ઠેસ પહોંચે છે, તો આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે અપેક્ષા વ્યક્ત કરી હતી કે સરકારે તુંરત કાર્યવાહી કરવી જોઈએ. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે કહ્યું કે, આ ઘટના અત્યંત નિંદનીય છે. મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર કોઈ રંગ ફેંકે કે ચિત્રકામ કરે તે અતિશય નિદંનીય કૃત્ય છે. પોલીસે તાત્કાલિક ગુનેગારોની ધરપકડ કરવી જોઈએ અને તેમને મહત્તમ સજા થવી જોઈએ.શિવસેના ઠાકરે જૂથના નેતા અંબાદાસ દાનવે પણ કડક પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે, હું આ કૃત્યની ઘોર નિંદા કરું છું. પોલીસે વિલંબ કર્યા વિના કાર્યવાહી કરવી જોઈએ અને આ કૃત્ય કરનારા અસામાજિક તત્વોની ધરપકડ કરવી જોઈએ.એનસીપીના વરિષ્ઠ નેતા શરદચંદ્ર પવારે પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, અમે આ વલણની સખત નિંદા કરીએ છીએ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના યુવા નેતા રોહિત પવારે કહ્યું કે, આ ઘટના એક વિકૃતિ છે. પોલીસે ચૂપ બેસવું નહીં જોઈએ. આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. પોલીસ સૂત્રો મુજબ, શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસની આઠ વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે અલગ-અલગ દિશાએથી તપાસ કરશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:55 am

ભાવનગરના વિકાસનો રોડ મેપ-2:ભાવનગરનો વિકાસપથ ઘોઘા-તળાજા અને સિહોરના ગામડાઓ સુધી લંબાવાશે

ભાવનગરમાં હાલ અલંગ સહિતના અડધો ડઝનથી વધુ ઉદ્યોગો કાર્યરત છે અને આગામી વર્ષોમાં અન્ય એક ડઝન કરતા નવા ઉદ્યોગો ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની હદ વધારવી જરૂરી છે. હદ વધવાથી અને આગોતરૂ આયોજન કરવાથી પર્યાવરણ સંતુલીત અને આદર્શ ઔદ્યોગિક વિકાસ થઈ શકશે. ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરવાનો છે ત્યારે ક્યા વિસ્તારમાં ક્યો ઉદ્યોગ વધારે વિકાસ પામી શકે તેમ છે અને તે માટે બાડાની હદમાં વધારો કરી જરૂરી જમીનને અનામત રાખવા સહિતના આગોતરા આયોજનની જરૂર છે.ઉત્તર દિશા તરફ ધોલેરા સરની હદ તરફ તથા વિકાસ પામી રહેલ સિહોર ઈન્ડ. વિસ્તાર અને રાષ્ટ્રીય નેશનલ પાર્ક કાળીયાર તરફનો વિસ્તાર છે. માઢીયામાં નવી જીઆઈડીસી પણ તૈયાર થઈ છે અને કુંભારવાડામાં પણ નવી જીઆઈડીસી તૈયાર થયેલ છે. ઉત્તર-પૂર્વ-દક્ષિણ ખાડી વિસ્તારમાં કેમીકલ્સ, પ્લાસ્ટીક પાર્ક, સોલ્ટ, શિપબિલ્ડીંગ, રો-રો, ન્યુ પોર્ટ રિનોવેશન, સંભવિત મીઠી વિરડી ન્યુ પોર્ટ તથા ટુરીઝમ માટે પીરમબેટ અને નિષ્કલંક મહાદેવ કોળીયક આવેલા છે.ઉત્તર-પશ્ચિમ-દક્ષિણ વિસ્તારમાં અલંગ, વ્હીકલ સ્ક્રેપ યાર્ડ, એગ્રોબેઈઝ ઈન્ડસ્ટ્રીઝની શકયતા છે.ચારેય દિશાઓના વિકાસ બિંદુઓને ધ્યાનમાં રાખી નકશામાં દર્શાવેલ હદ સુધી બાડાનું વિસ્તરણ જરૂરી છે. છેલ્લા બે દસકા કરતા વધારે સમયથી બાડાની હદમાં ખાસ્સો વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. પણ ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની હદમાં વધારો થતો નથી.નવા ઉદ્યોગોને જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાણી અને વીજ પુરવઠાની જરૂરીયાત ઊભી થશે. જે માટેનું આયોજન કરવું જરૂરી છે.- વિજયભાઈ પારેખ,એન્જિનિયર, પૂર્વપ્રમુખ પીએટા, એક્સપર્ટ આ ગામો સુધી બાડાની હદ વધારો ભાવનગર તાલુકો : કરદેજ, ઊંડવી, ભોળાદ, પાળીયાદ, દેવળીયા, ઘેલડી, ગોકુલપરા, રાજગઢ, મીઠાપર, અધેલાઈ, જસવંતપર, કોટડા, સનેસ, કાળાતળાવ અને વેળાવદર. ઘોઘા તાલુકો : ખરકડી, નાનાખોખરા, ઉખરલા, કોબડી, ભંડારીયા, પડવા, હાથબ, કોળીયાક, કુડા, પીરમબેટ. સિહોર તાલુકો : રાજપરા, જુના જાળીયા, ભડલી. તળાજા તાલુકો : કુકડ, પાણીયાળી, મીઠીવિરડી ખાડી સુધીનો કોસ્ટલ બોર્ડર એરીયા ભાવનગરમાં આ નવા ઉદ્યોગની શકયતા ભાવનગરમાં હાલમાં અલંગ શિપબ્રેકીંગ, હીરા પ્લાસ્ટીક, રોલીંગ મીલ, સોલ્ટ અને એગ્રીકલ્ચર ઈન્ડ. આવેલી છે. નવા ઉદ્યોગોમાં શિપબિલ્ડીંગ, રિપેરીંગ, વ્હીકલ સ્ક્રેપ યાર્ડ, મરીન ઉદ્યોગ, કન્ટેનર, ધોલેરા સર બેઝ એન્સિલરી ઉદ્યોગ, એગ્રકલ્ચર ફુડ પ્રોસેસીંગ, ગારમેન્ટ, સોલાર, વીન્ડ વોટર ગેસ રીફલીંગ, એનર્જી બેઈઝ ઉદ્યોગો, રીયલ એસ્ટેટ, સોલ્ટ અને કેમીકલ્સના વધુ નવા ઉદ્યોગો આવવાની શકયતા છે તેને ધ્યાનમાં રાખી જરૂરી જમીન સંપાદન, ઈન્ફ્રાસ્ટ્ક્ચર સહિતના આયોજન જરૂરી છે. આ પ્લાન આગામી 20 વર્ષનો ઓછામાં ઓછો હોવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:53 am

કાર્યવાહી:પોલીસે ગાંજાનું આખુ પેકેટ ખોલ્યુ 1.50ને બદલે કુલ 5.50 લાખ મળ્યા

ગાંજા કેસમાં પોલીસે ગઈકાલે પાર્સલમાંથી દોઢ લાખ મળ્યા હોવાનું જાહેર કર્યું હતુ પરંતુ આજે આંગડીયામાં જે સાડા પાંચ લાખ રૂપિયા મોકલાયા હતા તે તમામ પૈસા મળ્યા હોવાનું જણાવી એક દિવસના રિમાન્ડ પુરા કર્યા છે. પાંચેય આરોપી બીજા દિવસે પણ રિમાન્ડ પર છે પણ આંગડીયામાં મોકલેલા તમામ પૈસા ગાંજા સાથે પરત કેમ આવ્યા અને પોલીસને આજે જ પુરી રકમ કેમ મળી તે બાબત ચર્ચાનો વિષય બની છે. ભાવનગર શહેરમાં રહેતા રૂતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલએ નિલમબાગ પોલીસમાં તેના જ મિત્રોએ દોઢ લાખ રૂપિયાના પાર્સલની ચોરી કર્યાની અરજી કરી હતી જે બાદ પોલીસ તપાસમાં તેના મિત્રોની પુછરછ કરતા પાર્સલમાં રહેલા દોઢ લાખની બદલે રૂા. સાડા પાંચ લાખ હોવાનું અને સાથે 475 ગ્રામ ગાંજો મળી આવતા અરજદાર ફરિયાદી સહિત પાંચ શખ્સોની પોલીસે ગાંજા અને રોકડ સાથે ધરપકડ કરી હતી. પરંતુ રૂતુરાજસિંહે આંગડીયામાં રૂા.5.50 લાખ મુંબઇ ખાતે પાર્થ ભટ્ટને ગાંજો લેવા મોકલેલ હતા પરંતુ અને પાર્થ ભટ્ટે 475 ગ્રામ ગાંજાના રૂપિયા કાપ્યા વિના, તમામ સાડા પાંચ લાખ રૂપિયાનું પાર્સલ ભાવનગર મોકલી આપતા પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે.ત્યારે પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા તેમ નિલમબાગ પી.આઇ. બી.ડી. ઝાલાએ જણાવ્યું હતું. જ્યારે પોલીસની એક ટીમ મુંબઇ ખાતે રવાના થઇ હતી અને ગાંજો મોકલનાર પાર્થ ભટ્ટની મુંબઇથી ધરપકડ કરી છે અને મુખ્ય સુત્રધાર શ્રીરંગન હાલ પોલીસ પકડથી દુર હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજી વખત ગાંજાનું પાર્સલ મંગાવ્યું પી.એસ.આઇ. કે.સી.રેવરે જણાવ્યું હતું કે, પાંચેય આરોપીએ ભાગીદારીમાં ગાંજો મંગાવ્યો હતો પરંતુ આ પ્રથમ વખત નથી મંગાવ્યો. પોલીસની તપાસમાં આ ગાંજાનું પાર્સલ ત્રીજી વખત મંગાવ્યાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:51 am

આજે વિશ્વ વાંસ દિવસ:પ્રાચીન ઘાસ વાંસ રોજ એક મીટરની ઝડપે વધે છે

વિશ્વ બામ્બુ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 18 સપ્ટેમ્બરે વૈશ્વિક સ્તરે વાંસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં વાંસની કુલ 116 જાતિઓ અને 1400 પ્રજાતિઓનો સમાવેશ થાય છે જ્યારે ભારતમાં વાંસની 29 જાતિઓ અને 148 પ્રજાતિઓ મળી આવે છે. વાંસ સૌથી ઝડપથી વૃદ્ધિ પામે છે અને પ્રતિ દિવસ એક મીટર અને પ્રતિ કલાક 4 સે.મી.થી વધુ ઝડપી દરે વૃદ્ધિ પામતો હોય તેનો નવો પ્રાન્કુર 1વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ લંબાઈ પ્રાપ્ત કરી લે છે. સામાન્ય રીતે આપણે વાંસને ઝાડ તરીકે જ ઓળખીએ છીએ પરંતુ વનસ્પતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ વાંસ એ ઘાસ કુળનું સદા હરિત, મજબૂત, કાષ્ઠિય, ઝડપથી વૃદ્ધિ પામતું ઉંચામાં ઊંચું પ્રાચીન ઘાસ છે. સામાન્ય લાગતા વાંસની અમૂલ્ય લાક્ષણિકતાઓને ધ્યાને લઈને વૈશ્વિક સ્તરે વાંસ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા તથા વાંસના ઉપયોગ અને જાળવણીને પ્રોત્સાહન આપવા માટે આ ઉજવણી થાય છે. અસંખ્ય બિન ટકાઉ સંસાધનોના વિકલ્પ તરીકે વાંસનો ઉપયોગ કરી શકાય છે જેનાથી હરિયાળા વાતાવરણમાં યોગદાન મળે છે. વાંસની ઉપયોગીતા અને વાંસના વાવેતરને બચાવવા માટે જાગૃતિ ફેલાવવી એ વિશ્વ વાંસ દિવસની ઉજવણીના મુખ્ય હેતુઓ છે.પ્રાચીન ઘાસ ગણાતા વાંસ વિશ્વમાં સૌથી વધુ વધતા ઘાસમાં ગણાય છે અને થોડા સમયમાં જ મીટરોની ઊંચાઈ મેળવી લે છે.ગુજરાતમાં ડેંડ્રોકેલેમસ સ્ટ્રીક્ટસ અને બામ્બુસા અરુન્ડેનેસિયા એમ વાંસની બે જાતિઓ કુદરતી રીતે વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ભેટમાં આપવામાં આવતું લકી બામ્બુ એ ખરેખર સાચો વાંસ નથી પરંતુ માત્ર તેનો દેખાવ વાંસ જેવો છે હકીકતમાં તે ડ્રેસીના જૂથનો છોડ છે. આવતી કાલે જ્યારે વાંસ દિવસની ઉજવણી થશે ત્યારે યાદ રાખો કે વાંસ મુખ્યત્વે બાંધકામમાં, ફર્નિચર, ખોરાક, જૈવ ઇંધણ, કાપડ, કાગળ, કોલસો વિગેરે માટે અત્યંત ઉપયોગી છે. ઉપરાંત તેમાં ખોરાક માટે ઉપયોગી તત્વો પણ છે. માટીને સુધારી જમીનનું ધોવાણ થતું અટકાવે છેવાંસ ઉચ્ચ કાર્બન સ્ત્રોત અને ફાઈટોરીમેડીએશન વિકલ્પ તરીકે માટીનું માળખું જાળવી રાખે છે અને માટીના બંધારણમાં સુધારો કરે છે તેમજ જમીનનું ધોવાણ થતું અટકાવે છે પૌષ્ટિક ખાદ્ય સ્ત્રોત તરીકે વાસના કુમળા પ્રાંચુરમાંથી શાક, અથાણું, મુરબ્બો, સલાડ વિગેરે પણ બનાવવામાં આવે છે. વાંસના બીજ બામ્બુરાઈસ તરીકે ઓળખાય છેવાંસ તેના જીવનકાળમાં એક જ વખત સમૂહમાં પુષ્પ ધારણ કરે છે સમૂહમાં પુષ્પ અને બીજ ધારણ કર્યા બાદ સુકાઈ જાય છે. વાંસના બીજને ભારત અને ચીનમાં બામ્બુરાઈસ તરીકે ઓળખવામાં આવે છે. આ રાઈસ વિટામીન એ, બી-વન, બી- ટુ, બી- થ્રી, બી-સિક્સ ઉપરાંત ફોસ્ફરસ, લોહ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. > ડો.કાશ્મીરા સુતરીયા, પર્યાવરણવિદ્દ

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:51 am

પીએમ નરેન્દ્ર મોદીને ધર્મેન્દ્ર ,શાહરૃખ અને આલિયા ભટ્ટે જન્મદિનની શુભેચ્છાઓ આપી

દૂરદર્શને ફિલ્મ હસ્તીઓના શુભેચ્છાઓના વિડિયો મેસેજીસ પ્રસારિત કર્યા 75 વર્ષની ઉંમરે પણ તમારી ગતિ અને ઉર્જા અમારા જેવા યુવાનોને શરમાવે છેઃ શાહરૃખખાન હિન્દી ફિલ્મ જગતની નામી હસ્તીઓ ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, શાહરૃખખાન અને આલિયા ભટ્ટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ૭૫મા જન્મદિને બુધવારે શુભેચ્છાઓ પાઠવી તેમની નેતાગીરી, સમર્પણ અને રાષ્ટ્રઘડતરમાં તેમના પ્રદાનની પ્રશંસા કરી હતી. જાહેર પ્રસારણકાર દૂરદર્શન દ્વારા ફિલ્મ હસ્તીઓના વિડિયો મેસેજીસને તેના સોશ્યલ હેન્ડલ્સ પર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને આશા ભોસલે, આમિરખાન, અજય દેવગણ, મહેશ બાબુ અને એસએસ રાજામૌલિએ વિડિયો મેસેજીસ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત સમાચાર 18 Sep 2025 7:30 am

પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે ખાતમૂર્હુત:PGVCL દ્વારા રૂ.303 કરોડના ખર્ચે નખાશે MVCC કેબલ

પી.જી.વી.સી.એલ. દ્વારા ભારત સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અંતર્ગત વીજળી વિતરણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં વીજળીના વિતરણમાં ઉપયોગમાં લેવાતા કેબલની સમયાનુસાર ફેરબદલી કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ. ભાવનગર ઝોનલ કચેરી નીચે આવતા વિસ્તારોમાં રૂ.303 કરોડના ખર્ચે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવામાં આવશે. દરિયા કિનારાના ભાવનગર અને અમરેલી જિલ્લાને ફાયદારૂપ પી.જી.વી.સી.એલ.ના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું આગામી તા.20મી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ નીચેના કાર્યક્ષેત્રમાં 11 કે.વી.ના 214 ફીડરોમાં MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવામાં આવનાર છે ત્યારે વીજળીની લાઈનોમાં મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ નાખવાથી ફીડરોમાં ખોટકા સર્જાવાની શક્યતા ઘણી નહિવત રહેવાની સાથે પી.જી.વી.સી.એલ.ના 3.72 લાખ ગ્રાહકોને ફાયદારૂપ બનશે. જવાહર મેદાન ખાતે આગામી તા.20મી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થવાનું છે ત્યારે PGVCL સર્કલ ઓફિસમાં કામગીરીના ધમધમાટ સાથે મીટિંગો યોજાઈ રહી છે. કેટલા ફીડરમાં MVCC કેબલ નખાશે ? જ્યોર્તિગ્રામ ફીડર 139 ફીડર ◾ સિટી અર્બન ફીડર 57 ફીડર ◾ ઇન્ડસ્ટ્રીયલ ફીડર 18 ફીડર

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:17 am

અકસ્માતની ભીતિ:વડાપ્રધાન જે રોડનું ખાતમુહૂર્ત કરવાના છે તે રોડ પરનું નાળુ ભયજનક સ્થિતિમાં ભાંગ્યું

ભાવનગર ખાતે આગામી 20મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદા જુદા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ કરોડો રૂપિયાના એમઓયુ કરવા માટે આવી રહ્યા છે. પરંતુ જે કુંભારવાડા અવેડાથી દશનાળા સુધીના ફોરલેન રોડના ખાતમુહૂર્ત કરવાના છે તે રોડ વચ્ચે આવેલુ નાળુ આજે તૂટી ગયું હતું. નાળાનો ભાગ બેસી જતા અકસ્માતની પણ ભીતિ છે. વાસ્તવિકતા તો તે છે કે, સવા ચાર કરોડના ખર્ચે નાળાના આપ્યા બાદ આ જ નાળાના રોડનું 29.13 કરોડના ખર્ચે ફોર ટ્રેક માટે કામ અપાયું છે અને તેનું ખાતમુહૂર્ત નરેન્દ્ર મોદી કરશે. કુંભારવાડા અવેડાથી દસ નાળા સુધીનો રોડ લાંબા સમયથી બિસ્માર થઈ ગયો છે. જેથી નાળા માટે ટેન્ડર બહાર પાડ્યા તેમાં પણ પ્રથમ પ્રયત્ને કોઈ એજન્સી તૈયાર નહોતી અંતે ચોમાસા પૂર્વે 4.15 કરોડના ખર્ચે નાળો બનાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસાને કારણે નાળાનું કામ શરૂ થયું નહીં અને તાબડતો કુંભારવાડા અવેડાથી દસ નાળા સુધીના ફોર ટ્રેક રોડ 29.13 કરોડના ખર્ચે મંજૂર થયો અને તેનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો. એક જ રોડ પર નાળા અને રોડનો જુદી જુદી એજન્સીને જુદો જુદો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. પરંતુ આ રોડનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થાય અને નાળાનું કામ શરૂ થાય તે પૂર્વે આજે નાળુ તૂટી ગયું હતું. નાળાનો કેટલોક ભાગ તૂટી જતા ગંભીર અકસ્માતની પણ શક્યતા નકારી શકાય નહીં. નાળાના નુકસાન માટે તાત્કાલિક પરાજુ પાથરવામાં આવ્યું પરંતુ ગણતરીની કલાકોમાં પરાજુ સાથે નાળાનો ભાગ વધુ બેસી ગયો. જેથી આ નાળું હાલમાં ભયજનક સ્થિતિમાં આવી ગયું છે. જોકે કોર્પોરેશન દ્વારા આ નાળા પરથી વાહન વ્યવહાર બંધ કરી ડાયવર્ઝન આપવાની ગતિવિધિ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:16 am

આયોજન:AISHEને માહિતીમાં એમ.કે.બી. યુનિ.એ 100% અપલોડિંગ પૂર્ણ કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી ખાતે કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજ ના અધ્યક્ષ સ્થાને ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન (AISHE) અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં KCG અમદાવાદ ખાતેથી OSD ડો. કોમલબેન ભટ્ટ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. AISHEના ડેટાની કામગીરી વર્ષ 2010ના વર્ષથી યુનિ. દ્વારા કરવામાં આવે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દર વર્ષે 100% અપલોડિંગ પૂર્ણ કર્યું છે અને યુનીવર્સીટીની કોલેજોએ પણ 100% અપલોડિંગ પૂર્ણ કર્યું છે. યુનિ. સતત 3 વર્ષ સુધી સમગ્ર દેશમાં ડેટા અપલોડિંગમાં પ્રથમ પણ રહી છે. ઘણી બધી કોલેજો ડેટા અપલોડ કરવામાં પણ પ્રથમ રહી. જેની નોંધ કેન્દ્ર, રાજ્ય દ્વારા લેવામાં આવી છે. શિક્ષણ મંત્રાલય ( MoE ) એ ડેટાબેઝ બનાવવા અને ભારતમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 2010- 2011માં ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન ( AISHE )ની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની નોંધણી, શિક્ષકો, ઈન્ફ્રાસ્ટ્રકચર અને પરીક્ષાના પરિણામો જેવા વિવિધ પરિમાણો પર ડેટા એકત્ર કરવા માટે દર વર્ષે સર્વે હાથ ધરવામાં આવે છે. AISHE દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટાનો ઉપયોગ શૈક્ષણિક વિકાસ સૂચકાંકોની ગણતરી કરવા માટે થાય છે, જેમ કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, વિદ્યાર્થી-શિક્ષક રેશિયો અને જેન્ડર પેરિટી ઈન્ડેક્સ. આ માહિતી નીતિગત નિર્ણયો લેવા માટે ઉપયોગી છે. aishe.gov.in પોર્ટલ પર સૂચિબદ્ધ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે ખાસ ડિઝાઇન કરેલા ફોર્મેટમાં ડેટા અપલોડ કરે છે. સંબંધિત સંસ્થાના નોડલ અધિકારીઓ ડેટા અપલોડ કરે છે. AISHE માટેની કેટલીક દરખાસ્તોમાં હિસ્સેદારોની માન્યતા, પસંદગી-આધારિત રેન્કિંગ સિસ્ટમ અને રિએક્રેડિટેશનની સમયમર્યાદા ઘટાડવાનો સમાવેશ થાય છે. આ વર્કશોપમાં ઈ.ચા કુલસચિવ ડો.ભાવેશભાઈ જાની, AISHE નોડલ ઓફિસર ડો.જય બદીયાણી, અધ્યાપક ગણ તેમજ વિવિધ કોલેજોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:15 am

ફરિયાદ:PGVCLના વાયરો લેવા માટે બે સગા ભાઇઓના પરિવાર વચ્ચે બઘડાટી બોલી

સિહોરના કનીવાવમાં રહેતા 2 પરિવારો વચ્ચે PGVCLના વાયરો લેવા બાબતે બે સગા ભાઇઓના પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાઇ હતી. જ્યાં સિહોર પોલીસ મથકમાં ચાર મહિલા સહિત 9 શખ્સો વિરૂદ્ધ સામસામી ફરિયાદ નોંધાવાઈ હતી. સિહોરના નવાગામ (કનીવાવ)માં રહેતા ચીમનભાઇ શામજીભાઇ રાવળએ બાજુમાં રહેતા ભત્રીજાને PGVCLના વાયરો લેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભત્રીજા અરૂણ સહિત તેના નાના ભાઇ હસમુખભાઇ, તેમના પત્નિ ઉષાબેન, ભત્રીજી આશાબેન, બનેવી મસુખભાઇ હિરાભાઇ વાઢૈયાએ એક સંપ કરી ચિમનભાઇ તેમજ તેમની દિકરીને લાકડાના ધોકાથી તેમજ લાફો ઝીંકી મારમાર્યો હતો. જ્યારે સામાપક્ષે હસમુખભાઇએ જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઇ ચિમનભાઇને વાયરો જોઇતા હોય જેને લઇને અરૂણભાઇને વાયરો લેવાની ના પાડી ચિમનભાઇ તેમજ તેમની બંન્ને દિકરી કૃપાલીબેન અને મીનાક્ષીબેને એક સંપ કરી હસમુખભાઇ, તેમની પત્નિ ઉષાબેને ગંભીર મારમારતા ચારથી પાંચ જેટલા લોકોને ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ચીમનભાઇ શામજીભાઇ રાવળે હસમુખ શામજીભાઇ રાવળ, ઉષાબેન હસમુખ રાવળ, અરૂણ હસમુખભાઇ રાવળ, મનસુખ હિરાભાઇ વાઢૈયા, સવજી શામજીભાઇ રાવળ વિરૂદ્ધ તેમજ હસમુખભાઇ રાવળે ચીમન શામજીભાઇ રાવળ, મીનાક્ષીબેન ચીમનભાઇ રાવળ, કૃપાલીબેન ચીમનભાઇ રાવળ વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. PGVCLના કર્મીઓએ રિપેરીંગ કરી વાયરો મુકયા હતાપીજીવીસીએલના કર્મચારીઓને થાંભલાના રિપેરીંગ બાબતે માહિતી મળી હતી જે બાદ કર્મચારીઓ દ્વારા સિહોરના કનીવાવ ગામે ચિમનભાઈના મકાનની બાજુમાં આવેલ વીજ થાંભલામાં રિપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વધેલા ઈલેક્ટ્રીક વાયરો થાંભલાની બાજુમાં મુકયા હતા જે વાયરો લેવા બાબતે બન્ને પરિવારો વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાટમાં આવીને ઝગડો કર્યો હતો અને સશસ્ત્ર મારામારી સર્જાઈ હતી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 7:15 am

તુળજાભવાની નવરાત્રોત્સવને મુખ્ય રાજ્ય મહોત્સવનો દરજ્જો

ડ્રોન દ્વારા ઝાકઝમાળભર્યો શો ૩૦૦ નવરાત્રિમાં દેશભરમાંથી ૫૦ લાખ ભાવિકો તુળજાપુર માતાજીના દર્શને આવે છે મુંબઇ - તુળજાભવાની દેવી શારદીપ નવરાત્રોત્સવને મહારાષ્ટ્ર સરકારે રાજ્યના મુખ્ય મહોત્સવનો દરજ્જો આપ્યો છે. તુળજાપુર સ્થિત તુળજાભવાની માતા મંદિરમાં ૨૨મી સપ્ટેમ્બરથી બીજી ઓકટોબર સુધી ધામધૂમથી નવરાત્રોત્સવ ઉજવાશે. આ મહોત્સવ દરમ્યાન સ્થાનિક લોકકલા, ગોધળી ગીત, ભારૃડ, જાખડી મૃત્ય રજૂ કરવામાં આવશે.

ગુજરાત સમાચાર 18 Sep 2025 7:15 am