SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

જગુદણની સીમમાં ખેતરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર રેડ:693 બોટલ સાથે 6.39 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસે બે શખ્સોને ઝડપ્યા

થર્ટી ફર્સ્ટને લઈ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ એલર્ટ મોડ પર છે. આ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસે જગુદણ ગામની સીમમાં ઓ.એન.જી.સી. જી.જી.એસ. પાસે આવેલા એક ખેતરમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 693 નંગ બોટલ અને મોબાઈલ ફોન સહિત કુલ 6,39,499નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર રેડમહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા અને તેમનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ગૌરવકુમાર બાબુભાઈ અને ચેતનભાઈ સોમાભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જગુદણ ગામની સીમમાં આવેલ મંગળભાઈ હરીદાસ પટેલના ખેતરમાં કેટલાક શખ્સો બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી તેનું વેચાણ અને કટિંગ કરી રહ્યા છે. 693 બોટલો સાથે 6.39 લાખનો મુદ્દામાલ જપ્તમળેલી બાતમીના આધારે પોલીસે ખેતરમાં દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 57 પેટીઓ તથા 9 છૂટી બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 693 સીલબંધ બોટલો કિંમત 6,29,499 અને બે મોબાઈલ ફોન કિંમત 10,000 મળી કુલ 6,39,499નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે શખ્સોની અટકાયતઆ મામલે પોલીસે ઠાકોર દર્શન ઉર્ફે અજયજી રણછોડજી (રહે. મહેસાણા, મૂળ પાટણ) અને ઠાકોર સંજય ઉર્ફે ગીડો કડવાજી (રહે. જગુદણ)ની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓમાં જગુદણના ઠાકોર કિરણ ઉર્ફે ભલાજી મુકેશજી, દંતાણી રાહુલ ભરતભાઈ અને મહેસાણાની બાલાજી હાઇટ્સમાં રહેતી પટેલ રીટાબેન માધવલાલ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 8:14 pm

સુરત અને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલ બનાવવાની જાહેરાત:આવનારા દિવસોમાં અમદાવાદમાં પણ સંકુલ બનાવાશે, કોર કમિટીની બેઠકમાં નિર્ણય

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ અલગ બે જગ્યાએ શ્રી ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની જેમ જ દક્ષિણ ગુજરાતની ધરતી પર સુરતમાં અને વિદેશની ધરતી પર લંડનમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. કાગવડ ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણયકોર કમિટીની બેઠક બાદ ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી મંડળની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં હાલ ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયના પ્રકલ્પોની પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હાલ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ગામ પાસે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટ પૂર્ણ કરીને સમાજને અર્પણ કરવામાં આવશે. સાથે સાથે આવતા દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રકલ્પો પ્રમાણે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં એક શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનું પણ આયોજન છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પણ ભવનનું નિર્માણ કરવામાં આવશે. સુરત અને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલ બનાવાશેવધુમાં નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ શ્રી ખોડલધામ મંદિર સાથેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. સાથે જ વધુ આનંદની વાત એ છે કે, આજે આ કોર કમિટીની બેઠક યોજાવાની હતી તેના થોડા કલાકો પહેલા લંડનમાં વસતાં ખોડલધામના સ્વયંસેવકોએ આજે શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ અમારી સાથે ચર્ચા કરીને લંડનમાં પણ ખોડલધામ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી લંડનમાં પણ ટૂંક સમયમાં શ્રી ખોડલધામ મંદિર નિર્માણનું કામ ચાલુ થશે. આ બન્ને જગ્યાએ નિર્માણ પામનાર મંદિર સંકુલ પાટણના સંડેર ખાતે બની રહેલા મંદિર સંકુલની જેમ જ નિર્માણ પામશે. પાટણના સંડેર ખાતે હાલ 42 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ સુરત અને લંડનમાં નિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર સંકુલ પ્રોજેક્ટની વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 8:08 pm

'બજારમાં જવેલર્સની દુકાન ચલાવી હોઈ તો 15 લાખ આપવા પડશે':સતલાસણામાં વેપારીને ધમકી, કોઠાસણા ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

સતલાસણામાં જવેલર્સની દુકાન ચલાવતા વ્યાપારીને દુકાન ચલાવવી હોઈ તો પંદર લાખ રૂપિયા આપવા પડશે અને આ રૂપિયા નહિ આપે તો પત્ની અને બાળકોને ઉપાડી જઇ મારી નાખવાની ધમકીઓ આપનાર મોટા કોઠાસણા ગામના ચૌહાણ ઉપેન્દ્રસિંહ ઉર્ફ પિન્ટુ ભા નામના શખ્સ સામે સતલાસણા પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે. 'તારે મને 15 લાખ આપવા પડશે'સતલાસણાની સત્યમ સોસાયટીમાં રહેતા અને સતલાસણાના જનતા માર્કેટમાં શિવમ જવેલર્સ નામની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાની લે વેચનો વ્યાપર કરતા 48 વર્ષીય પંચાલ વિજયભાઈએ સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓ સતલાસણા બજારમાં હાજર હતા એ દરમિયાન મોટા કોઠાસણા ગામનો ચૌહાણ ઉપેન્દ્રસિંહ ઉર્ફ પિન્ટુભા ફરિયાદીને બજારમાં મળ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપીઆરોપીએ કહ્યું હતું કે, સતલાસણા બજારમાં જવેલર્સની દુકાન ચલાવવી હોઈ તો તારે મને 15 લાખ આપવા પડશે. પૈસા નહિ આપે તો તને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને પત્ની થતા બાળકોને ઉઠાવી લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો બોલી જતો રહ્યો હતો. ફરિયાદ નોંધાઈસમગ્ર ઘટના દરમિયાન ફરિયાદી ધમકીના કારણે ડરી ગયા હતા. ત્યારબાદ તેઓએ આ બાબતે પોતાની દુકાન પાસે અન્ય વ્યાપારીઓને જાણ કરી હતી. અને બીજા વ્યાપારીઓએ હિંમત આપતા આખરે ફરિયાદીએ સતલાસણા પોલીસ મથકમાં ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 7:57 pm

‘ભાઈ મને બચાવી લે, આ લોકો મારું મર્ડર કરી નાખશે’:પત્નીની બેવફાઈ અને પ્રેમીના ત્રાસથી શહેરાના 26 વર્ષીય યુવાને જિંદગી ટૂંકાવી, BNS હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામના 26 વર્ષીય યુવાને પત્ની અને તેના પ્રેમીના કારણે આપઘાત કરી લીધો છે. ઝેરી દવા ગટગટાવીને મરવાનું પસંદ કરતાં પહેલા તેની માતાને ફોન કરીને છેલ્લા રામ રામ કહ્યા હતા. જ્યારે તેના ભાઈને આજીજી કરી કરી હતી કે ‘ભાઈ મને બચાવી લે, આ લોકો મારું મર્ડર કરી નાખશે’. દોડી ગયેલા યુવાને જેમતેમ કરીને તેના ભાઈને સમજાવ્યો હતો. પરંતુ પત્ની અને પ્રેમીના ખોફથી જીવવા કરતાં મરવાનો રસ્તો તેણે મોતનો માર્ગ પસંદ કર્યો હતો. યુવકનું મોત થતાં તેના ભાઈએ ભાભી અને તેના પ્રેમી સામે BNS મુજબ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. પત્નીના અફેરને કારણે સંસારમાં કલેશપ્રાપ્ત વિગતો મુજબ, ગીરીશ હાલોલ ખાતે પત્ની અલ્પા સાથે રહી એક ખાનગી શો-રૂમમાં નોકરી કરતો હતો. લગ્નના 3 વર્ષ બાદ પત્નીને તેની જ કંપનીમાં કામ કરતા સુનીલ વસાવા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ ગીરીશને થઈ હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગત તા. 22/11/2025ના રોજ પ્રેમી સુનીલે ગીરીશના ઘરે જઈ ધમકી આપી હતી કે, “જો પહેલી તારીખે રૂમ ખાલી નહીં કરે તો તારું મર્ડર કરી નાખીશ.” મોત પહેલા ભાઈ અને માતાને ફોન કર્યો હતો પત્ની અને પ્રેમીના આતંકથી ગીરીશ એટલો ડરી ગયો હતો કે તેણે પોતાના ભાઈ ભાવેશભાઈને ફોન કરીને રડતા રડતા આજીજી કરી હતી કે, “ભાઈ, તું મને બચાવવા આવ... સુનીલ અને તારી ભાભી મને જીવવા નહીં દે. એ લોકો મારું મર્ડર કરે એના કરતાં હું પોતે જ મરી જાઉં એ સારું છે.” માતાને છેલ્લા રામ-રામમાનસિક યાતના અને બદનામીના ડરથી ભાંગી પડેલા ગીરીશે પોતાની માતાને પણ ફોન પર “મારા છેલ્લા રામ-રામ” કહીને વિદાય માંગી હતી. ત્યારબાદ તા. 23/11/2025 ના રોજ શહેરાના ભુરખલ સ્થિત ઘરે તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બે દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં ગીરીશનું કરુણ મોત નીપજ્યું હતું. મોબાઈલ રેકોર્ડિંગના આધારે પોલીસ કાર્યવાહીગીરીશના મોત બાદ તેના મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગ અને પુરાવાઓના આધારે શહેરા પોલીસે તપાસ તેજ કરી છે. ભાઈ ભાવેશની ફરિયાદના આધારે પોલીસે આરોપી અલ્પા અને સુનીલ વસાવા વિરુદ્ધ BNS કલમ 108 અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પી.આઈ. એ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પત્ની અને પ્રેમીએ મળીને એક હસતો-રમતો સંસાર ઉજ્જડ કરી દીધો છે, જેથી તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 7:37 pm

સુરતમાં સ્મશાનેથી 15 દિવસમાં બીજુ મડદું પરત લઈ જવું પડ્યું:હોસ્પિટલના સહી સિક્કાના અભાવે અંતિમ સંસ્કાર અટક્યા, આ સમસ્યાનો કાયમી ઉકેલ કોણ લાવશે?

સામાન્ય રીતે સ્મશાનેથી ક્યારેય મડદાં પરત ફરતા હોતા નથી. પરંતુ, સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં બે એવી ઘટના બની છે કે, પરિવારે સ્મશાન ગૃહેથી મડદાંને હોસ્પિટલ લઈ જવા પડ્યા હોય. મુશ્કેલી એ છે કે, સુરત શહેરમાં વસતા અનેક લોકો હોસ્પિટલ અને સ્મશાન ગૃહની કાગળની કાર્યવાહીથી અજાણ હોય છે. જેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે તંત્રએ જ મળીને આ સમસ્યાનો કોઈ કાયમી હલ કાઢવામાં આવે તે જરુરી બન્યું છે. સ્મશાને પહોંચ્યા બાદ પરિવારને ખબર પડી કાગળમાં હોસ્પિટલના સહી સિક્કા જરુરી છેવાલક નગર આશાપુરી ખાતે રહેતા અને કડિયાકામ કરતા રામદેવ કુમાર યાદવ (42 વર્ષ)ના પત્ની જગમનીયા દેવી (53 વર્ષ)નું શુક્રવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં અવસાન થયું હતું. શનિવારે સવારે 11 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈને ઉમરા સ્મશાનગૃહે પહોંચ્યા હતા. જોકે, બપોરે 1 વાગ્યે તેમને જાણ કરવામાં આવી કે સારવારના પેપર્સ પર સિવિલ હોસ્પિટલના જરૂરી સહી-સિક્કા નથી, જેના વિના અંતિમ સંસ્કારની વિધિ થઈ શકે નહીં. પરિવારને ખ્યાલ નહોતો કે ઘરે મૃત્યુ થયું હોય અને સારવાર હોસ્પિટલમાં ચાલતી હોય ત્યારે પણ હોસ્પિટલમાંથી સહી-સિક્કાવાળા કાગળ કરાવવા અનિવાર્ય છે. અંતે, બપોરે 4 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈ ફરી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જેથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. 25 વર્ષ સુરતમાં રહી કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યુંમૃતક જગમનીયા દેવી મૂળ બિહારના વતની હતા અને 25 વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા. તેમના લગ્નની પૃષ્ઠભૂમિ પણ લાગણીસભર છે. જગમનીયા દેવી રામદેવના મોટા ભાઈના પત્ની હતા, પરંતુ ભાઈના અવસાન બાદ રામદેવે તેમને અપનાવી લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. રામદેવ કુમારે જણાવ્યું હતું કે, મારી પત્નીને હાથ-પગમાં સોજા આવતા 10 દિવસ પહેલા સિવિલમાં દાખલ કરી હતી. ગયા શનિવારે રજા આપી હતી, પણ ફરી તબિયત બગડતા ઘરે જ મૃત્યુ થયું. અમને એમ કે હોસ્પિટલના જૂના કાગળ ચાલશે, એટલે અમે સીધા સ્મશાન ગયા હતા. પણ ત્યાં ડોક્ટરે સહી-સિક્કા માંગતા અમે ફરી હોસ્પિટલ આવ્યા. 15 દિવસમાં આ બીજી સમાન ઘટના આ અગાઉ ગત 13મી ડિસેમ્બરના રોજ પણ સુનિતા દેવી નામના મહિલાના પરિવાર સાથે આ જ પ્રકારની મુશ્કેલી સર્જાઈ હતી. એ સમયે પણ પરિવાર અચાનક જ નવી સિવિલ હોસ્પિટલ મૃતદેહ લઈને પહોંચ્યો હતો કારણ કે તેમની પાસે પણ સહી-સિક્કા કરેલા જરૂરી કાગળો ઉપલબ્ધ નહોતા. સ્મશાનમાં અંતિમ વિધિ માટે કાયદાકીય રીતે હોસ્પિટલ કે ડોક્ટરનું ડેથ સર્ટિફિકેટ અથવા સિક્કાવાળા પેપર્સ અનિવાર્ય હોય છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 7:13 pm

વીજ કરંટથી મરેલા મોરના ટુકડા કરનાર શખ્સ ઝડપાયો:કોર્ટે 8 જાન્યુઆરી સુધી જેલમાં મોકલ્યો, પ્રભાતપુરમાં 11KV લાઈન પર કરંટ લાગતા મોરનું મોત થયું'તું,

જૂનાગઢ જિલ્લાના પ્રભાતપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજો મેળવી તેના ટુકડા કરી માંસ રાંધવાનો અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વન વિભાગે બાતમીના આધારે દરોડો પાડીને આરોપીને રાંધેલા માંસ સાથે ઝડપી પાડ્યો છે. નામદાર કોર્ટે આ મામલે કડક વલણ અપનાવી આરોપીને 8 જાન્યુઆરી સુધી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ​11KV લાઈન પર કરંટ લાગતા મોરનું મોત થયું હતુંસમગ્ર ઘટનાની વિગત મુજબ, ગત 25 ડિસેમ્બર 2025ના રોજ ડુંગર દક્ષિણ રેંજના રામનાથ રાઉન્ડમાં આવેલા પ્રભાતપુર ગામે ઓઝત નદીના કાંઠે 11KVની વીજ લાઈન પર બેસવા જતાં એક મોરને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા પ્રભાતપુર ગામના રહીશ રમણીક દાનાભાઇ ચૌહાણે વન વિભાગને જાણ કરવાને બદલે મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજો મેળવ્યો હતો. ​માંસનું શાક બનાવ્યું અને અવશેષો નદીમાં ફેંક્યાબાતમીદારે વન વિભાગને જાણ કરી હતી કે કોઈ અજાણ્યો શખ્સ મૃત મોરને લઈ ગયો છે. આ બાતમીના આધારે RFO એ.એ. ભાલીયા અને વન વિભાગની ટીમે આરોપી રમણીકના ઘરે રેડ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી રાંધેલા મોરના માંસનું શાક અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ કુહાડી વડે મોરના ટુકડા કર્યા હતા અને બાકીના અવશેષો જેવા કે બે પાંખો, ડોક અને પીંછા ઓઝત નદીમાં ફેંકી દીધા હતા, જેને વન વિભાગે કબજે લીધા છે. ​વન વિભાગની કાર્યવાહીથી આરોપી જેલના સળિયા પાછળજૂનાગઢ ડીસીએફ અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપી રમણીકની ધરપકડ કરી હતી. આજે 27 ડિસેમ્બરના રોજ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આરોપીને 8 જાન્યુઆરી 2026 સુધી જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ​જૂનાગઢ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પક્ષી સાથેની આવી ક્રૂરતા સાંખી લેવામાં આવશે નહીં. વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગ સતર્ક છે અને ભવિષ્યમાં પણ આવા ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 7:01 pm

ભાવનગર ડાયરેક્ટ ઓફ પ્રોસીક્યુશનના ઉપક્રમે સેમિનાર યોજાયો:ભાવનગર, બોટાદ અને અમરેલી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ એકદિવસીય સેમિનાર કેમ્પમાં જોડાયા હતા

ભાવનગર ડાયરેક્ટ ઓફ પ્રોસીક્યુશનના ઉપક્રમે આજે 27 ડિસેમ્બર શનિવારે સવારે 9 કલાકથી સાંજના 5 કલાક સુધી એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એચ.એસ.મુળીયાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. સિનીયર વકીલોએ મંતવ્ય વ્યક્ત કર્યા હતાંઆ કાર્યક્રમના પ્રારંભે સરકારી વકીલ ધ્રુવભાઈ મહેતાએ ઉપરસ્થિત તમામ મહાનુભાવો અધિકારીઓ અને ઉપસ્થિત તમામને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એ.પી.પી. ચિરાગભાઈ દવેએ ડાયંગ ડેકલેરેશન, ઓળખ પરેડ, અને નક્સા વિસે વિસ્તૃત સમજણ આપી હતી. તેમજ ગુજરાત હાઇકોર્ટના સીનીયર એડવોકેટ રૂચિત જે.વ્યાસે એફ.આઈ.આર. અને પોલીસ તપાસ વિષે માહિતી આપી હતી, ભાવનગર જીલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીએ સારવાર, સર્ટી.,પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ઉપસ્થિત સિનીયર વકીલોએ પણ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતાં. ત્રણ જીલ્લાના અધિકારીઓ સેમિનાર કેમ્પમાં જોડાયા હતાઆ ટ્રેનીંગ કેમ્પમાં ભાવનગર, બોટાદ, અમરેલી, સહિતના ત્રણ જીલ્લાના તમામ પોલીસ અધિકારી, મામલતદારઓ, મેડીકલ ઓફીસર તથા તમામ સરકારી વકીલોએ માર્ગદર્શન અને કાયદાકીય બાબતોની સમજણ આપવામાં આવી હતી, આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન/એલાઉન્સર તરીકે ભાવનગરના સીનીયર એડવોકેટ નાઝીરભાઈ સાવંતે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એચ.એસ.મુળીયા, તેમજ બોટાદના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એમ.જે.પરાસર, ભાવનગર જીલ્લા કલેકટર ડો.મનીષ બંસલ, ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતીષ પાંડે, ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ તેમજ ભાવનગર બાર એસોસીએશન, ક્રિમીનલ બાર એસોસીએશન, મોટર એક્સીડેન્ટ બાર એસોસિએશનના પ્રમુખો સહીતના મહાનુભાવો અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:31 pm

વલસાડ ડેમોશા કંપની બહાર કામદારોની હડતાળ:ધારાસભ્ય અનંત પટેલ જોડાતા લેબર ડિપાર્ટમેન્ટ દોડતું થયું

વલસાડની ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોશા કંપનીના કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં વાંસદા-ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ કામદારોના સમર્થનમાં જોડાયા હતા. ધારાસભ્ય અનંત પટેલ કામદારો સાથે હડતાળમાં જોડાતા જ વલસાડનું લેબર ડિપાર્ટમેન્ટ સક્રિય બન્યું હતું. વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. લેબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તાત્કાલિક ડેમોશા કંપની બહાર પહોંચ્યા હતા. તેમણે હડતાળ પર બેઠેલા કામદારો અને ધારાસભ્ય અનંત પટેલ સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ કામદારોને પડતી મુશ્કેલીઓ અને હડતાળના કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:25 pm

વિદેશની કોલેજોમાં ફી ભરવાના નામે 55 લાખની છેતરપિંડી:ઠગાઈના ત્રણ કેસમાં નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

વિદેશી કોલેજોમાં ફી ભરવાના બહાને લાખો રૂપિયા પડાવીને બનાવટી રસીદો આપીને ઠગાઇ આચરનાર ઠગબાજને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા છ મહિનાથી ચાલતી તપાસમાં ઝડપી પાડ્યો છે. આરોપી વિજયકુમાર પરષોત્તમભાઇ પરમાર (ઉંમર 43) વિરુદ્ધ વડોદરાના છાણી અને હરણી પોલીસ સ્ટેશન તથા સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ કેસ નોંધાયા છે, જેમાં કુલ રૂ.55 લાખથી વધુની ઠગાઇ કરવામાં આવી છે. કેનેડા-અમેરિકાની કોલેજોમાં ફી ભરવાના નામે પૈસા લઈ ખોટી રસીદો વોટ્સએપમાં મોકલતોઆ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી. જાડેજા અને એન.જી. જાડેજાની ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ભાયલી ફાટક પાસેના ક્રિષ્ણા વાટીકા ફ્લેટમાંથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અટલાદરા ખાતે ખુશી ફાયનાન્શીયલ સોલ્યુશન નામની ઓફિસ ચલાવીને કેનેડા અને અમેરિકાની કોલેજોમાં ફી ભરવાના નામે પૈસા લઇને ખોટી રસીદો વોટ્સએપ પર મોકલતો હતો. કુલ અલગ અલગ ત્રણ કેસમાં 55 લાખની છેતરપિંડી આચરીઆ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના પુત્રની કેનેડાની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં ફી ભરવાના બહાને રૂ.24.47 લાખ પડાવીને ખોટી રસીદ આપી છેતરપિંડી આચરી હતી. જ્યારે શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના પુત્રની અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલાબામા (બર્મિંગહામ)માં એડમિશન અને ટ્યુશન ફીના નામે રૂ.15.39 લાખ પડાવીને ખોટી રસીદ આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ સાથે સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના પુત્રની કેનેડા વેસ્ટ યુનિવર્સિટીમાં ડિપોઝિટ અને ફીના નામે રૂ. 17.62 લાખ પડાવીને ખોટી રસીદ આપી છેતરપિંડી કરી હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:23 pm

UPની કુખ્યાત આંતરરાજ્ય બાવરિયા ગેંગના સભ્યને વડોદરા પોલીસે ઝડપ્યો:ચોરીની બાઇક લઈ ચેઇન સ્નેચિંગ કરતો, ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો

વડોદરા શહેરમાં અવાર નવાર ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનાએ અંજામ આપનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ ઉત્તરપ્રદેશથી કારમાં વડોદરા આવી ચોરીની મોટર સાયકલ ઉપર નાગરિકોના ગળામાં પહેરેલ સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરનાર ઉત્તરપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય બાવરિયા ગેંગના સાગરીતને ઉત્તરપ્રદેશ ખાતે ટોલ પ્લાઝાના કર્મચારી બનીને શોધી કાઢી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બાવરિયા ગેંગના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચ ટીમે વેશ પલટો કરીને પકડ્યોવડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના શામલી જિલ્લામાં ટોલ પ્લાઝા પર કર્મચારી તરીકે વેશ ધારણ કરી શંકાસ્પદ મારુતિ અર્ટીગા કારને રોકી હતી. પકડાયેલ આરોપી મેજરસિંગ જોગાસિંગ સિંગ (ઉંમર 28, રહે. અહમદગઢ, તા. કૈરાના, જિ. શામલી)એ પુછપરછમાં કબૂલ્યું કે તે અને તેના ત્રણ સાગરીતો (નિતીન ઉર્ફે ગુલ્લર ક્રીષ્ણા બાવરીયા, સંજય ઉર્ફે સંજુ મુકેશભાઇ બાવરીયા અને સેન્ટી બીટ્ટુ વઢેરા) બે વખત વડોદરા આવ્યા હતા. તેઓ હાલોલ રોડ પર કાર પાર્ક કરી બે સભ્યો વડોદરામાં મોટરસાઇકલ ચોરી કરી ચેઇન સ્નેચિંગ કરતા અને પછી મોટરસાઇકલ છોડી કારમાં પરત ફરતા હતા. ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યોઆ કેસમાં બે ચેઇન સ્નેચિંગ કે જે પાણીગેટ અને કુંભારવાડા પોલીસ સ્ટેશન અને એક મોટરસાઇકલ ચોરી ફતેગંજ પોલીસ સ્ટેશનનાનો ભેદ ઉકેલ્યો છે. ઝડપાયેલ આરોપી પાસેથી રોકડ, કાર અને મોબાઇલ મળી કુલ રૂપિયા 3,04,600 નો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોટરસાઇકલ ચોરી કરી ને સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરતોઆ ગેંગ પોતાના આર્થિક લાભ માટે ઉત્તરપ્રદેશથી કારમાં આવી શહેર બહાર કાર પાર્ક કરી મોટરસાઇકલ ચોરી કરી ચેઇન તોડી પરત ફરતા હતા. વોન્ટેડ આરોપીઓમાં નિતીન અને સંજય પર ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં લૂંટફાટ, હથિયાર અને ગેંગસ્ટર એક્ટ હેઠળ 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. 38 ચેઇન સ્નેચિંગના કેસમાંથી 35 ડિટેક્ટ થયા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2025માં વડોદરામાં 38 ચેઇન સ્નેચિંગના કેસમાંથી 35 ડિટેક્ટ કર્યા છે. જેમાંથી 33 ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યા છે. વર્ષ 2024 અને અન્ય જિલ્લાઓના મળી કુલ 37 કેસ ક્રાઇમ બ્રાન્ચે શોધ્યા છે. પોલીસે સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગુન્હાને અંજામ આપનાર સામે કમર કસી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:23 pm

સાપુતારામાં દારૂ-ટ્રાફિક ડ્રાઈવમાં 15 કેસ નોંધાયા:નવા વર્ષની ઉજવણી પૂર્વે પોલીસની કડક કાર્યવાહી

સાપુતારા પોલીસે નવા વર્ષની ઉજવણી પૂર્વે દારૂ અને ટ્રાફિક નિયમોના પાલન માટે સઘન ડ્રાઈવ શરૂ કરી છે. 31 ડિસેમ્બર પહેલાં પ્રવાસીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત સાપુતારા પોલીસે વિસ્તારમાં સઘન ચેકિંગ, નાકાબંધી અને પેટ્રોલિંગ કર્યું હતું. ખાસ કરીને મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો પર વિશેષ નજર રાખવામાં આવી હતી. આ તપાસમાં દેશી અને વિદેશી દારૂના વેચાણ, વહન અને સેવન સંબંધિત નિયમોના ઉલ્લંઘનના કુલ 15 કેસ નોંધાયા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર વાહન ચલાવવું, ઓવરલોડિંગ, ખોટી રીતે પાર્કિંગ અને દસ્તાવેજો વગર વાહન ચલાવવા સહિતના 14 કેસ નોંધાયા છે. આ કાર્યવાહીમાં કુલ 35 ઈ-ચલણ જારી કરાયા હતા, જેમાંથી રૂ. 9,900ની રકમ વસૂલ કરવામાં આવી છે, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું છે કે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની અશાંતિ, અકસ્માત કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે આ ડ્રાઈવ ચાલુ રહેશે. પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને કાયદાનું પાલન કરવા, દારૂના ગેરકાયદે વેચાણ અને સેવનથી દૂર રહેવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આવા સઘન ચેકિંગ અને કાર્યવાહીથી ગુનાખોરી પર અંકુશ આવે છે અને પ્રવાસન સ્થળે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે છે. આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ અને ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે, જેથી નવા વર્ષની ઉજવણી સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:20 pm

હિંમતનગરમાં 81 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:LCBએ બટાકાની આડશમાં લઈ જવાતો જથ્થો પકડી ચાલકની ધરપકડ કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આગીયોલ પાસેથી LCBએ બટાકાની આડશમાં લઈ જવાતો રૂ. 81 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે શામળાજી તરફથી અમદાવાદ જઈ રહેલા એક ટાટા ટ્રકમાં (નંબર RJ18GA5196) બટાકાના કોથળાઓની આડશમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવે પર આગીયોલ ગામ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકવામાં આવ્યો હતો. ટ્રક ચાલકનું નામ બિરબલનાથ રેખનાથ હુનતનાથ ચૌહાણ (ઉં.વ. 40, રહે. લુનકરનસર, બિકાનેર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન ટ્રકનો સાચો રજીસ્ટ્રેશન નંબર RJ18GA5195 હોવાનું જણાયું હતું. ચાલકની પૂછપરછ કરતા તેણે ટ્રકમાં બટાકાના કોથળાઓની આડશમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ટ્રકના પાછળના ભાગેથી બટાકાના કોથળા હટાવતા વિવિધ બ્રાન્ડની 503 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 20,436 બોટલ વિદેશી દારૂ હતો, જેની કિંમત રૂ. 81,06,000 આંકવામાં આવી છે. પોલીસે ટ્રક ચાલક પાસેથી બે મોબાઈલ (રૂ. 15,000), રોકડ (રૂ. 1,500), ટાટા ટ્રક (રૂ. 20,00,000), 215 બટાકાના કોથળા (રૂ. 53,750), જીપીએસ ડિવાઇસ (રૂ. 500) અને દારૂનો જથ્થો મળી કુલ રૂ. 1,01,76,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ચાલક સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં યશવંત નામનો એક વ્યક્તિ ફરાર છે, જેણે ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો. તેનો મોબાઈલ નંબર 7717409867 છે, પરંતુ તેનું પૂરું નામ અને સરનામું હજુ સુધી મળ્યું નથી. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:17 pm

ખભે ઉંચકીને અને ટીંગાટોળી કરીને દર્દી-પિતાને લઈ જવા પુત્ર મજબૂર:સુરત સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા અન્ય હોસ્પિટલ લઈ ગયા, સ્ટાફને જાણ કર્યા વગર દર્દીને લઈ ગયા-ઇન્ચાર્જ RMO

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક પુત્ર તેના પિતાને ખભે ઉંચકીને હોસ્પિટલની બહાર જતો દેખાય છે. આ વીડિયોને લઈને રાજકીય આક્ષેપો અને વહીવટી ખુલાસાઓનો દોર શરૂ થયો છે. ખભે ઉંચકીને અને ટીંગાટોળી કરીને દર્દીને લઈ જવા મજબૂર24 ડિસેમ્બર 2025ના રોજ સુરત સિવિલના ટ્રોમા સેન્ટર બહારનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. મોહન નામનો યુવાન તેના પિતા કિશન પ્રધાનને સારવાર માટે સિવિલ લાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મોહન પિતાને ખભે ઉંચકીને ચાલી રહ્યો છે અને તેના શ્વાસ ફૂલી રહ્યા છે. જ્યારે પિતાનો ભાર ન ઝીલાયો ત્યારે અન્ય સગાની મદદથી તેમને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પુત્રએ આક્ષેપ કર્યો હતો કે, સિવિલમાં કોઈ પૂછતું નથી, એટલે અમારે પિતાને અન્ય હોસ્પિટલ લઈ જવા પડે છે. 'આરોગ્ય મંત્રી હોવા છતાં ગરીબ દર્દીઓની આવી દશા'કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે સુરત પાસે કેન્દ્રીય મંત્રી અને આરોગ્ય મંત્રી હોવા છતાં ગરીબ દર્દીઓની આવી દશા છે. તેમણે હોસ્પિટલના સ્ટાફની કાર્યશૈલી અને નેતાઓની ખુશામતખોરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. સ્ટાફને જાણ કર્યા વગર દર્દીને લઈ ગયા-ઇન્ચાર્જ RMOસામે પક્ષે, નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડો. લક્ષ્મણભાઈએ સ્પષ્ટતા કરી હતી કે, ઘટના 24 તારીખની છે. દર્દીને 108 મારફતે લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરો તેમની ડ્યુટી પર હતા. પરંતુ પરિવારજનો ડોક્ટરને કહ્યા વગર જ દર્દીને લઈને હોસ્પિટલથી ચાલ્યા ગયા હતા. જો તેમણે સ્ટાફ પાસે મદદ માંગી હોત તો ચોક્કસપણે વ્હીલચેર કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોત.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:58 pm

ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી તોડ્યા:અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ કરી, બાળકો સાથે CM બાળક બન્યા, નબીરાએ કારને 360 ડિગ્રી ફેરવી સ્ટંટ કર્યા

મુખ્યમંત્રીએ આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના SG હાઇવે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવ્યો.તેમણે બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી. તેમની કવિતાઓ, બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડાં વહેંચ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભગવા સેનાએ ક્રિસમસની ઉજવણીનો વિરોધ નોંધાવ્યો અમદાવાદના પેલેડિયમ મોલમાં ભગવા સેનાએ ક્રિસમસની ઉજવણીને લઈ વિરોધ નોંધાવ્યો.ભગવા સેનાના કાર્યકર્તાઓએ મોલમાં રાખેલા ક્રિસમસ ટ્રીની સજાવટમાં તોડફોડ કરી.વિરોધને પગલે પોલીસે તમામની અટકાયત કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કાલે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.સાથે જ આઈકોનિક SG હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હેલ્મેટ ન પહેરનારને ફાઈન નહીં ફૂલ આપોઃસંઘવી સુરતમાં 'અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન'ના ઉદ્ઘાટન સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટને લઈ નિવેદન આપ્યું.તેમણે કહ્યું, હેલ્મેટ ન પહેરનારને ફાઈન નહીં ફૂલ આપો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હત્યાના આરોપીઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા ભરત ચૌધરીના હત્યારાઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા.પાલનપુરમાં 20 ડિસેમ્બરે થયેલી હત્યામાં કેસમાં પોલીસે છ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. આ સમયે આરોપીને ફાંસી આપો અને ગુજરાત પોલીસ જિંદાબાદ'ના નારા લાગ્યાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજથી વિસરાતી વાનગીઓનો મહોત્સવ શરૂ આજથી અમદાવાદની ભાગવત વિદ્યાપીઠમાં વિસરાતી વાનગીઓનો મહોત્સવ શરૂ થયો છે. મહોત્સવમાં ગરમ વાનગીના કુલ 70 સ્ટોલ છે, જેમાં 450 કરતા વધારે વિસરાતી વાનગીઓ બનાવવામાં આવી છે. આ મહોત્સવમાં 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી સમાધાન માટે એક કરોડ માગ્યા મોરબીમાં વૃદ્ધને એક ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યા.ખેડૂત કામ માટે મહિલાને વાડીએ લઈ ગયા તો મહિલાએ પોતાના કપડાં ઉતારી ખેડૂતને બાથ ભરી લીધી. બાદમાં વીડિયો ઉતારી સમાધાન માટે એક કરોડ માગ્યા. ખેડૂતે 53.50 લાખ આપ્યા છતા બાકીના પૈસા માટે ખેડૂતનું અપહરણ કરી ગોંધી રાખ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બાયોડાયવર્સિટી પાર્કમાં દારૂની પોટલીઓનું સામ્રાજ્ય સુરતના અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્કમાં દારૂની ખાલી પોટલીઓ ઉડતી જોવા મળી. રાત્રિના સમયે સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીમાં નશાખોરો લોખંડની ફેન્સિંગને કટર વડે કાપી અંદર પ્રવેશ કરે છે. અને પછી 9 લાખ વૃક્ષોની ગીચતાનો લાભ લઈ દારૂની મહેફિલ માણે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો થર્ટી ફસ્ટ પહેલાં 60 લાખના દારુ ઝડપાયો થર્ટી ફસ્ટ પહેલાં SMCએ અમરેલીમાં સપાટો બોલાવ્યો. મોડી રાત્રે દરોડો પાડી 60 લાખના વિદેશી દારૂ સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.1 આરોપી ઝડપાયો જ્યારે 16 આરોપી ફરાર છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નબીરાએ કારને 360 ડિગ્રી ફેરવી ભયાનક સ્ટંટ કર્યા સુરતમાં નબીરાએ જાહેર માર્ગો પર સ્ટંટ કરી પોતાની સાથે લોકોના જીવ પણ જોખમમાં મુક્યા. નબીરાએ કારને ફૂલ સ્પીડમાં હંકારી મહાવીર યુનિવર્સિટીની સામે કારને 360 ડિગ્રીમાં લગભગ ચાર વાર ગોળ-ગોળ ફેરવી ભયાનક સ્ટંટ કર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:55 pm

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા સ્વેટર વિતરણ:વિરમગામ-માંડલ શાળાઓના બાળકોને શિયાળાની ઠંડીથી બચવા માટે રક્ષણ પૂરું પાડ્યું

અમદાવાદ સ્થિત હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ અને માંડલ તાલુકાની શાળાઓમાં બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. શિયાળાની ઠંડીથી બાળકોને રક્ષણ આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વિતરણ અભેસંગપુરા, કન્યા શાળા નં.–૧, વિરમગામ અને માંડલ તાલુકાની નાના ઉભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે હતું. આ સેવાકાર્ય હેલ્પ્સ ફાઉન્ડેશન – અમદાવાદના સ્થાપક ડૉ. ધીરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું. આ સમગ્ર આયોજન દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર (પે સેન્ટર આચાર્ય, કુમાર શાળા નં.–૧, વિરમગામ)ના પ્રયત્નોથી શક્ય બન્યું. આ પ્રસંગે હેલ્પ્સ ફાઉન્ડેશન તરફથી એડવોકેટ વિજયભાઈ પટેલ, ડૉ. ધીરેન્દ્રભાઈ પટેલ અને ડૉ. કાજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ધાકડી શાળાના આચાર્ય હંસાબેન પરમાર, સામાજિક આગેવાન ઈશ્વરભાઈ પરમાર, છગનભાઈ પરમાર, ખેડૂત સમિતિના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તેમજ ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરાયેલા સ્વેટર બાળકોને શારીરિક ગરમી પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ પહેલ સમાજ પ્રત્યેની જવાબદારી અને બાળકોની સંભાળ રાખવાની ભાવના દર્શાવે છે. કાર્યક્રમના અંતે, તમામ શાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા હેલ્પ્સ ફાઉન્ડેશન – અમદાવાદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:55 pm

બોપલમાં ભાગવત કથાનો સાતમો દિવસ:માઁ કનકેશ્વરી દેવીજીના મુખેથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન

અમદાવાદના બોપલ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો આજે સાતમો દિવસ છે. પ. પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર માઁ કનકેશ્વરી દેવીજીના શ્રીમુખેથી આ કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:51 pm

વાગરા મામલતદાર કચેરીમાં અદ્યતન જનસેવા સંકુલનું લોકાર્પણ:ધારાસભ્ય, કલેક્ટરની ઉપસ્થિતિમાં ₹20 લાખના ખર્ચે નિર્માણ

વાગરા મામલતદાર કચેરી ખાતે સુશાસન દિવસ નિમિત્તે અદ્યતન જનસેવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં 'કેફે જનસેવા', જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર, 'મારી યોજના' કક્ષ, મિટિંગ હોલ અને જનસેવા વનનો શુભારંભ થયો હતો. વાગરા તાલુકામાં અરજદારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિક જનસેવા કેન્દ્રનું નિર્માણ આશરે ₹20 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં 7/12 અને 8-અ ના ઉતારા, જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ જેવી વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થશે. આ જનસેવા સંકુલમાં 'મારી યોજના' પ્લેટફોર્મ પણ શરૂ કરાયું છે. આ પ્લેટફોર્મ દ્વારા સરકારની 680 થી વધુ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. અરજદારો પોતાની પાત્રતા મુજબ કઈ યોજનાઓનો લાભ લઈ શકે તેની સચોટ માહિતી અહીંથી મેળવી શકશે, જેથી તેમને યોજનાઓ જાણવા માટે ભટકવું નહીં પડે. વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે 'જનસેવા વન'ની પણ સ્થાપના કરવામાં આવી છે. મામલતદાર કચેરી ખાતે 5000 ચોરસ ફૂટ વિસ્તારમાં મિયાંવાકી જાપાનીઝ પદ્ધતિથી 325 વૃક્ષોનું વાવેતર કરીને આ વન વિકસાવવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય, કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ અપાયો હતો. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સંસ્થાના સહયોગથી 'કેફે જનસેવા' નામની આધુનિક કેન્ટીન પણ શરૂ કરાઈ છે. સરકારી કચેરીએ આવતા નાગરિકોને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે હેતુથી આ કેન્ટીન કાર્યરત કરવામાં આવી છે. ઉપસ્થિત મહાનુભાવોએ જનસેવા કેન્દ્ર અને કેફે જનસેવાની સુવિધાઓની મુલાકાત લીધી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નવીન સંકુલથી નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ મળશે, તેમજ અરજદારોને યોજનાકીય લાભો સરળતાથી મળે તે માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના પ્રાંત અધિકારી, મામલતદાર, સ્થાનિક અગ્રણીઓ, મામલતદાર કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:51 pm

જામનગરમાં સોની વેપારીનું 8 લાખનું સોનું લઈ કારીગર ફરાર:20 વર્ષથી કામ કરતો બંગાળી કારીગર 50 ગ્રામ સોનું લઈ ભાગ્યો, પોલીસ ફરિયાદ

જામનગરમાં એક સોની વેપારીનું આશરે 8 લાખ રૂપિયાની કિંમતનું 50 થી 60 ગ્રામ સોનું લઈને એક બંગાળી કારીગર ફરાર થઈ ગયો છે. આ ઘટનાથી સોની બજારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વેપારીએ આ અંગે પોલીસમાં અરજી કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ કારીગર વેપારીની દુકાનમાં છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી કામ કરતો હતો. તે કોલકાતાનો રહેવાસી છે અને તેની ઉંમર આશરે 38 વર્ષ છે. કારીગર રાતોરાત સોનું લઈને ગાયબ થઈ ગયો હતો. આ ઘટના બાદ સોની અને ચાંદી બજારમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવવા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ આ બંગાળી કારીગરની તસવીર મૂકી છે. તેમણે લોકોને આ કારીગર અંગે કોઈ જાણકારી હોય તો આપવા અપીલ કરી છે. હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, જ્યાં એક ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 14,000 રૂપિયાથી વધુ છે. આવા સમયે આટલી મોટી કિંમતનું સોનું ગુમ થવાથી વેપારીને મોટું નુકસાન થયું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:50 pm

લીંબડીમાં 6.11 કરોડના ST ડેપોનું ખાતમુહૂર્ત:આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આધુનિક એસ.ટી. ડેપો-વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. રૂ. 6.11 કરોડના અંદાજિત ખર્ચે બનનારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આવતીકાલે, રવિવાર, 28 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 10.30 કલાકે લીંબડી ડેપોના પટાંગણમાં યોજાશે. આ ખાતમુહૂર્ત વિધિ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને વાહનવ્યવહાર મંત્રી પ્રવિણભાઈ માળીના વરદહસ્તે સંપન્ન થશે. આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ હરીત શુકલા અને નિગમના વહીવટી સંચાલક એમ.નાગરાજન પણ હાજર રહી માર્ગદર્શન આપશે. આ નવનિર્મિત ડેપો-વર્કશોપ 35,005 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં સાકાર થશે. તેમાં 1,368 ચોરસ મીટરનું મજબૂત આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું બાંધકામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ મુસાફરોની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના GSRTC ના અભિગમનો એક ભાગ છે. આ સંકુલમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમિન રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વહીવટી સવલતો ઉપલબ્ધ કરાવાશે. બસોના મેઈન્ટેનન્સ માટે આધુનિક લોન્ગ પીટ અને યુ પીટ જેવી ટેકનિકલ સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને, વર્કશોપના પ્રથમ માળે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ, મહિલા કર્મચારીઓ માટે ખાસ રેસ્ટ રૂમ અને તાત્કાલિક સારવાર માટે ડિસ્પેન્સરી રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:49 pm

બાપુનગરની બાળકૃષ્ણ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો:વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ્સ અને મોડલ રજૂ કર્યા

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી બાળકૃષ્ણ પ્રાથમિક શાળામાં આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સ અને મોડલ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં બાળકોએ પોતાના વૈવિધ્યસભર કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય ભવિષ્યના સમૃદ્ધ ભારતના નિર્માણ માટે વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તુષારભાઈ, ટ્રસ્ટી શ્રી દિગંતભાઈ અને શ્રીમતી સૂર્યાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાળકૃષ્ણ પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી નીરૂબેન શાહ દ્વારા ટ્રસ્ટીગણને વિજ્ઞાન મેળાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને તેમણે પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. બાળકૃષ્ણ શાળા પરિવારની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ઉત્સાહભેર આ પ્રદર્શન નિહાળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:48 pm

એલ.જે. ફાર્મસીએ સિક્રેટ સાન્ટા ઉજવણીનું આયોજન કર્યું:ફેકલ્ટી અને નોન-ટીચિંગ સ્ટાફ માટે આનંદમય કાર્યક્રમ યોજાયો

એલ.જે. યુનિવર્સિટીના એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી દ્વારા ફેકલ્ટી અને નોન-ટીચિંગ સ્ટાફ માટે સિક્રેટ સાન્ટા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્ટાફ વચ્ચે સહકાર અને ટીમ બોન્ડિંગને પ્રોત્સાહન આપવાનો હતો. ઉજવણીની શરૂઆત પરંપરાગત સિક્રેટ સાન્ટા ગિફ્ટ એક્સચેન્જથી થઈ. જેમાં ફેકલ્ટી અને નોન-ટીચિંગ સભ્યોએ એકબીજાને ભેટો આપીને આનંદ અને આત્મીયતાનો માહોલ બનાવ્યો. કાર્યક્રમને વધુ ઉત્સાહપૂર્ણ બનાવવા માટે આયોજક સમિતિ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. આમાં ટ્રેઝર હન્ટ, વન મિનિટ ગેમ્સ અને ગીત પરથી વસ્તુ ઓળખવાની રમતનો સમાવેશ થતો હતો. સ્ટાફ મેમ્બર્સે આ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો, જેનાથી કાર્યક્રમ જીવંત અને મનોરંજક બન્યો. આવા અનૌપચારિક કાર્યક્રમો પરસ્પર સંબંધોને મજબૂત બનાવવામાં, કાર્યસંબંધિત તણાવ ઘટાડવામાં અને સકારાત્મક કાર્યસંસ્કૃતિ વિકસાવવામાં મદદરૂપ થાય છે. કાર્યક્રમનો અંત સૌના ચહેરા પર સ્મિત સાથે થયો. ફેકલ્ટી અને નોન-ટીચિંગ સ્ટાફ યાદગાર પળો સાથે સંસ્થામાં એકતા અને સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવીને પરત ફર્યા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:45 pm

સોમનાથમાં વૈદિક ગણિત કાર્યશાળા, પાટણના તજજ્ઞો સન્માનિત:ત્રિદિવસીય કાર્યશાળામાં વિશેષ યોગદાન બદલ બહુમાન કરાયું

વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ૧૮ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય વૈદિક ગણિત કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં પાટણના ડૉ. ધનરાજ ઠક્કર અને ડૉ. રૂપેશ ભાટિયાએ વૈદિક ગણિતના તજજ્ઞ તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેના સમાપન સત્રમાં તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત સંસ્કૃત સંવર્ધન યોજના અંતર્ગત આ કાર્યશાળા યોજાઈ હતી. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી, કોલેજના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓ સહિત આશરે ૮૦ જેટલા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજ ઠક્કર અને સિદ્ધપુરની અભિનવ હાઈસ્કૂલના આચાર્ય ડૉ. રૂપેશ ભાટિયાએ વૈદિક ગણિતના મહત્વ સાથે વિવિધ સૂત્રોની મદદથી ગુણાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સંખ્યાઓ અને બહુપદીઓના ગુણાકાર-ભાગાકાર જેવી પ્રક્રિયાઓ સરળ અને ઝડપી પદ્ધતિથી સમજાવી હતી. પ્રતિભાગીઓએ આ પદ્ધતિઓને ખૂબ આવકારી હતી. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ કાર્યશાળાના સમાપન સત્રમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર સૂકાન્તકુમાર સેનાપતિ, કુલસચિવ મહેશભાઈ મેતરા, વિનોદભાઈ ઝા, નરેન્દ્રભાઈ પંડ્યા, કાર્યશાળાના સંયોજક ડૉ. વિપુલકુમાર જાદવ અને સંયોજિકા ડૉ. અમિષા દવે ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોફેસરો, ડૉ. ધનરાજ ઠક્કર, ડૉ. રૂપેશ ભાટિયા અને પ્રતિભાગીઓએ વૈદિક ગણિતની ઉપયોગિતા અંગે પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. પાટણથી પધારેલા ડૉ. ધનરાજ ઠક્કર અને ડૉ. રૂપેશ ભાટિયાનું શાલ, મોમેન્ટો, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું. ઉલ્લેખનીય છે કે ડૉ. ધનરાજ ઠક્કર અને ડૉ. રૂપેશ ભાટિયા ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલ ધોરણ ૬ થી ૧૦ના વૈદિક ગણિતના પાઠ્યપુસ્તકોમાં લેખક અને સમીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે સમગ્ર ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ વૈદિક ગણિત વિષયક સેમિનારો યોજી રાષ્ટ્રીય સ્તરે તજજ્ઞ તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કુલપતિ પ્રો. સૂકાન્તકુમાર સેનાપતિએ જણાવ્યું હતું કે, “સંસ્કૃત સર્વ વિષયોની જનની છે. આવી કાર્યશાળાઓ દ્વારા વૈદિક જ્ઞાનની પરંપરા વધુ મજબૂત બનશે.” તેમણે આગામી સમયમાં વૈદિક ગણિત વિષયક વિશેષ સંગોષ્ઠિ યોજવાની પણ ભાવના વ્યક્ત કરી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:42 pm

વસ્ત્રાલની શ્રી શંકર વિદ્યાલયમાં ક્વિઝ સ્પર્ધા:વિદ્યાર્થીઓએ જ્ઞાન અને ઉત્સાહનો પરિચય આપ્યો

વસ્ત્રાલ વિસ્તારની શ્રી શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન નિવૃત્ત શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનો અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો હતો. આવા કાર્યક્રમો માત્ર સ્પર્ધા જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સહયોગ, સામૂહિક જ્ઞાન અને આત્મવિશ્વાસની ભાવના પણ વિકસાવે છે. વિદ્યાર્થીઓએ તેમની બુદ્ધિમત્તા અને જિજ્ઞાસાનો પરિચય આપ્યો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓના સાચા જવાબોથી વાતાવરણ ઉત્સાહભેર રહ્યું હતું. આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:37 pm

સાળંગપુરમાં હનુમાનજીને પરંપરાગત વાઘા પહેરાવ્યા:ધનુર્માસ નિમિત્તે કષ્ટભંજનદેવ મંદિરમાં વિશેષ શણગાર અને યજ્ઞ, ગામડાની ઝાંખીના દર્શન

સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવાર, 27 ડિસેમ્બર, 2025 ના રોજ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી દાદાને પરંપરાગત વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહને ગામડાની ઝાંખી (વિલેજ થીમ) થી સજાવવામાં આવ્યું હતું. આ શણગારમાં ઘાસના છાપરાવાળું ઝૂંપડું, માટીના ઘર પર લિપણ-ભાત (વારલી આર્ટ), ગાયોના શિલ્પો અને ગ્રામીણ જીવનની પ્રતિકૃતિઓનો સમાવેશ થતો હતો. મંગળા આરતી સવારે 5.30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે શણગાર આરતી સવારે 7.00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા સંપન્ન થઈ હતી. મંદિરના પરિસરમાં વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ દરમિયાન પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા પાઠનો જપ યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. હજારો ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા હતા અને મંદિર દ્વારા આયોજિત મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે સાંજે ૪:૦૦ કલાકે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:35 pm

VNSGUમાં ગ્રામ અભ્યાસ ભવનનું ઉદ્ઘાટન કરાયું:રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામ ગામીતે કર્યું લોકાર્પણ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન 26 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે ત્રણ કલાકે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે આ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ હાજર રહી શક્યા ન હતા. નવનિર્મિત ભવનના સેમિનાર હોલમાં અભિવાદન સમારંભ અને પ્રવચનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો આરંભ યુનિવર્સિટી ગીતના ગાનથી થયો હતો. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત મંત્રી ડો. જયરામભાઈ ગામીત, કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, કુલ સચિવ ડો. રમેશદાન ગઢવી, ગ્રામ અભ્યાસ વિભાગના વડા ડો. દીપક ભોયે અને પૂર્વ વડા શ્રી વિપુલ સોમાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વિભાગના વડા ડો. દીપક ભોયેએ નવનિર્મિત વિભાગનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કુલ28,855 ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં બંધાયેલ આ નવા ભવન માટે ગુજરાત સરકારની EDN-30 હેઠળ કુલ 4,06,80,000રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ વિભાગ 1970 માં શરૂ થયો હતો અને હાલમાં ૫૫ વર્ષ પૂર્ણ કર્યા છે. અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતા યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાએ આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ સૂત્ર સાથે પોતાના સંક્ષિપ્ત પ્રવચનનો આરંભ કર્યો હતો અને ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે પ્રસંગને અનુરૂપ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકાર અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે યુનિવર્સિટીની જૂની યાદો તાજી કરતા ભૂતપૂર્વ સાથી વિદ્યાર્થીઓ, તત્કાલીન અધ્યાપકો અને વિભાગના વડાઓનું સ્મરણ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:31 pm

પાટણ GEC માં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ યોગ-ધ્યાનનો અભ્યાસ કર્યો

પાટણની સરકારી ઇજનેરી કોલેજ (GEC) ના એન.એસ.એસ. યુનિટ દ્વારા ૨૧ ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના ઓલ્ડ એમિનિટી બ્લોક સામે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રોફેસરો, એન.એસ.એસ. સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાંજે ૮:૧૫ થી ૯:૧૫ વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં ઉપસ્થિત સૌને સૂર્ય નમસ્કાર, ધ્યાન અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ સત્રો દ્વારા સહભાગીઓને શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ અને એકાગ્રતાનો અનુભવ થયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય, આંતરિક શાંતિ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ ઉજવણી GEC પાટણના એન.એસ.એસ. યુનિટની સક્રિયતા અને સમાજોપયોગી દૃષ્ટિકોણને દર્શાવે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:28 pm

મોરબીની પીન્ટુબેન કંઝારીયાને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મળ્યું:CISF તાલીમ બાદ વતનમાં ભવ્ય સ્વાગત કરાયું

મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતી પીન્ટુબેન કંઝારીયાએ તાજેતરમાં સીઆઈએસએફ (CISF)ની તાલીમ પૂર્ણ કરી છે. તેમને દિલ્હી સંસદ ભવન ખાતે પ્રથમ પોસ્ટિંગ મળ્યું છે. પ્રથમ વખત વતનમાં પરત ફરતા, કંઝારીયા પરિવાર અને મોરબીના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મનજીભાઈ પોપટભાઈ કંઝારીયાની દીકરી પીન્ટુબેન ભારતીય સેનામાં સીઆઈએસએફમાં જોડાયા હતા. તેમણે કમાન્ડો સુધીની તાલીમ લીધી છે. તેમની પ્રથમ પોસ્ટિંગ દિલ્હી સંસદ ભવન ખાતે થઈ છે. વતનમાં પરત ફરતા, મોરબીના ભક્તિનગર સર્કલથી પીન્ટુબેન કંઝારીયાના ઘર સુધી સ્વાગત યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે કંઝારીયા અને સતવારા સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીન્ટુબેન કંઝારીયાનું સાલ ઓઢાડીને અને રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી યુવાનોમાં સેનામાં ભરતી થવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને આવા યુવાનોનું વતનમાં સન્માન કરવાની પરંપરા જળવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:25 pm

મોબાઈલ ફોરેન્સિક વાન સાથે SOG ચેકિંગમાં જોડાશે:રાજકોટમાં ન્યુયર પાર્ટી માટે 8 આયોજકોએ મંજૂરી માટે કર્યું એપ્લાય, ડોક્યુમેન્ટ ચકાસી મંજૂરી અપાશે, મંજૂરી વગરના આયોજકો સામે થશે કાર્યવાહી

રાજકોટ શહેરમાં 31st ડિસેમ્બરને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ન્યુયર પાર્ટીના સેલિબ્રેશન પર પ્રોહિબિશન તેમજ માદક પદાર્થનું સેવન કરી ફરતા લોકોને અટકાવવા માટે પોલીસે એક્સન પ્લાન બનાવ્યો છે અને અત્યારથી જ પોલીસે આ માટે કડક ચેકીંગ શરૂ કરી દીધું છે. સરકાર તરફથી રાજકોટ SOGને મોબાઈલ ફોરેન્સિક વાન આપવામાં આવી છે જેની મદદથી ખાસ ચેકીંગ શરૂ કરી માદક પદાર્થનું સેવન કરી નીકળતા શખ્સોને સ્થળ પર ચકાસી કાર્યવાહી કરી શકાય તે માટે આધુનિક ટેક્નોલોજી ઉપયોગ કરી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આ ચેકીંગ ઝુંબેશ 31 ડિસેમ્બર સુધી સતત યથાવત પણ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આ વર્ષે ન્યુયર પાર્ટીના આયોજન માટે હજુ સુધી માત્ર 8 અરજદારોએ જ એપ્લાય કરી મંજૂરી માંગવામાં આવી છે જો કે પોલીસે આ પૈકી એક પણને મંજૂરી આપી નથી જેની સ્થળ યપાસ તેમજ જરૂરી દસ્તાવેજી પુરાવા ચેક કરી બાદમાં મંજૂરી આપવામાં આવશે અને જો કોઈ આયોજન મંજૂરી વગર થશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટમાં નવા વર્ષને આવકારવા યુવાવર્ગ દ્રારા ઉજવણીઓ કરવામાં આવતી હોય છે અને આ ઉજવણીમાં કોઈ અનીચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ કમીશનર બજેશ કુમાર ઝા દ્વારા ચુસ્ત પેટ્રાલીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એસઓજી તેમજ લોકલ એલસીબી સહીત પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી પોલીસ દ્રારા તમામ જગ્યા પર પેટ્રોલીંગ શરૂ કરવામાં આવશે તેમજ કેટલાક મહત્વના ચોક પાસે વાહન ચેકીંગ પણ કરવામાં આવશે અને નશો કરી નીકળતા વાહન ચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસને મંજૂરી અર્થે 8 જેટલા પાર્ટીના આયોજકો દ્વારા મંજૂરી માગવામાં આવી છે. જે તમામ આયોજકોના નિવેદન નોંધી સ્થાનિક પોલીસ સ્ટેશન અને ત્યારબાદ લાઇસન્સ બ્રાન્ચ દ્વારા જરૂરિયાત મુજબ દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરી બાદ મંજૂરી આપવામાં આવશે. હજુ સુધી એક પણ પાર્ટીના આયોજકોને મંજૂરી આપવામાં આવી નથી પરંતુ યોગ્ય પુરાવા રજૂ કરનાર આયોજકોને મંજૂરી તપાસ બાદ આપવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયથી જ રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોબાઈલ એફએસએલની ટીમને સાથે રાખીને નશીલા દ્રવ્યોનું સેવન કરનારા વ્યક્તિઓને ઝડપી પાડવા માટે ઓન રોડ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે સ્પેશિયલ ડ્રાઇવ ન્યુ યર સુધી રોજ શરૂ રાખવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનેલાઈઝર પણ આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનને પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવને લગતા કેસ કરવામાં આવશે. ન્યુ યરની પાર્ટીના આયોજકોએ આયોજન સ્થળ પર ખાનગી સિક્યોરિટી અને સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત રહેશે. તેમજ મંજૂરી વગર પાર્ટીના આયોજન કરનારા આયોજકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસની કડક ચેકીંગ ઝુંબેશને જોઈ ખાનગી ફાર્મ હાઉસમાં પાર્ટી યોજવામાં આવતી હોવાના નવા ટ્રેન્ડ સામે પણ પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવી ખાનગી ફાર્મ હાઉસ પર પાર્ટી યોજી નશીલા દ્રવ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી છે આમ છતાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઝડપાસે તો તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ડ્રોન મારફત પણ SOG દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ તેમજ 112 ના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:09 pm

13 માર્ચ, 2026એ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી:25 મેમ્બરની ચૂંટણી પ્રેફરન્સિયલ મતદાનથી યોજાશે

દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલ માટે ગાઈડલાઈન જાહેર થઈ છે. એક ગાઇડલાઇન મુજબ દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણી 13 માર્ચ, 2026ના રોજ યોજાશે. ચૂંટણીની પ્રક્રિયા માટે કમલ ત્રિવેદીનું નામ જાહેરસમગ્ર ગુજરાતના તમામ વકીલો જેનું મતદાનમાં નામ હશે એ લોકો 13 માર્ચના રોજ મતદાન કરશે. આ મતદાન પ્રેફરન્સિયલ મતથી કરાશે. 25 મેમ્બરોની ચૂંટણી થશે. આખા ગુજરાતમાંથી 5 સીટ મહિલા અનામત છે અને આખી ચૂંટણીની પ્રક્રિયા માટે ગુજરાત ઇલેક્શન 2026 કોર્ડિનેટર કમલ ત્રિવેદીનું નામ બોર્ડે જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જારી કરીમુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એચ.એમ.પરીખ સિનિયર કાઉન્સિલ ગુજરાત હાઇકોર્ટનું નામ જાહેર કર્યું છે. જોઇન્ટ ચૂંટણી કમિશનર તરીકે મિલન.એન.પટેલનું નામ જાહેર કર્યું છે. ઓબ્ઝર્વર પૂર્વ જસ્ટિસ.ડી કે ત્રિવેદી 13 માર્ચ, 2026ના રોજ સમગ્ર ગુજરાતના વકીલોનું મતદાનની ડેટ આજરોજ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બોર્ડે જાહેર કરી છે અને આ સુપ્રીમ કોર્ટે જ ગાઈડલાઈન જારી કરી છે. સમગ્ર દેશના બાર કાઉન્સિલ માટે તેની જાહેરાત કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:05 pm

પંચમહાલ-ગોધરા LCBએ બે આરોપી ઝડપ્યા:પોપટપુરા પાસે નાકાબંધીમાં 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પોપટપુરા તુપ્તી હોટલ ચોકડી પાસે નાકાબંધી દરમિયાન બે ઇસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 840 બીયર ટીન, એક આઈ-20 કાર, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 5,46,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારીની સૂચના અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ સ્ટાફને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી રેડ કરવા સૂચના આપી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદીન અને આ.હે.કો. કેહજીભાઈ સૈયદુભાઈને બાતમી મળી હતી કે, સફેદ કલરની આઈ-20 કાર (નંબર જી.જે.20 એ.એચ.6271) વિદેશી દારૂનો જથ્થો ભરી સંતરોડ તરફથી વડોદરા તરફ જવાની છે. આ ચોક્કસ બાતમીના આધારે પો.સ.ઈ. એસ.આર. શર્મા અને LCB સ્ટાફના માણસોએ પોપટપુરા તુપ્તી હોટલ પાસે ચોકડી પર નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન વાહન ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને પૂર ઝડપે તથા ગફલતભરી રીતે વાહન હંકારી રાહદારીઓનું જીવન જોખમમાં મૂક્યું હતું. પોલીસે પીછો કરતા પેટ્રોલ પંપની પાસે થઈ થોડે આગળ વણાંકપુર સીમમાં વાહન ચાલકે રોડથી અવાવરુ જગ્યામાં કાર ઉતારી નુકસાન કર્યું હતું. બંને ઇસમો ભાગવાનો પ્રયાસ કરતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. આઈ-20 કારની તપાસ કરતા તેમાંથી કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 840 ટીન (કિંમત રૂ. 3,15,000/-), આઈ-20 કાર (કિંમત રૂ. 2,00,000/-), બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 30,000/-) અને રોકડા રૂ. 1910/- મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 5,46,910/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં અનિલ હેમચંદ માવી (રહે. વરમખેડા, મહાવડા ફળિયું, તા.જી. દાહોદ) અને હિતેશ રામસીંગ મછાર (રહે. નાગણખેડી, રતના ફળિયું, તા. રાણાપુર, જી. ઝાબુઆ, મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. આ ગુનામાં પ્રદીપસિંહ મહિડા (રહે. નડિયાદ) નામનો સહ-આરોપી ફરાર છે. ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પો.સ.ઈ. એસ.આર. શર્મા, એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન સહિત LCB ગોધરાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:00 pm

દિકરીને ભરણ પોષણ ચૂકવવા હાઈકોર્ટનો માતાને નિર્દેશ:માતાએ બીજા લગ્ન કર્યા પરંતુ દીકરી સાવકા પિતા અને ભાઈ સાથે રહેવા માંગતી નથી

ગુજરાત હાઈકોર્ટે માતા દ્વારા પોતાની બેરોજગાર અને અવિવાહિત દીકરીને ચૂકવવાનો ભરણપોષણનો આદેશ જાળવી રાખ્યો છે. માતાની ભરણપોષણની રકમ ઘટાડવાની અપીલને હાઇકોર્ટે નકારી કાઢી છે. માતાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે જો દીકરીને સરળ પૈસા મળશે તો તે નોકરી શોધવાથી દૂર રહેશે. દીકરીએ સાવકા પિતા અને ભાઈ સાથે રહેવાનો ઇનકાર કર્યોઆ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જામનગર શહેરની પ્રાથમિક શાળામાં અધ્યાપિકા તરીકે કાર્ય કરતી માતા જેણે પહેલા પતિના મૃત્યુ પછી વર્ષ 2018માં ફરી લગ્ન કર્યા હતા. તેને પહેલા લગ્નથી દીકરી હતી. આ દીકરીએ સાવકા પિતા અને સાવકા ભાઈ સાથે રહેવાનો ઇનકાર કર્યો હતો અને નાના નાની સાથે રહેવાનું પસંદ કર્યું હતું. કોર્ટે સેમેસ્ટર દીઠ 25 હજાર અને માસિક 15 હજાર ભરણપોષણ ચૂકવવા આદેશ આપ્યો હતોદીકરી ધોરણ 10માં હતી ત્યારથી માતા માસિક 5 હજાર રૂપિયાનું ભરણપોષણ ચૂકવતી હતી. દીકરી પુખ્ત થયા બાદ સપ્ટેમ્બર 2022માં ભરણપોષણ અધિનિયમની કલમો હેઠળ માતાથી ભરણપોષણ અને કોલેજ ફીની માગ કરી હતી. સપ્ટેમ્બર 2023માં જામનગર ફેમિલી કોર્ટે માતાને દીકરીના નર્સિંગ કોર્સ માટે 06 સેમેસ્ટર માટે, દર સેમેસ્ટર દીઠ 25 હજાર રૂપિયા અને માસિક 15 હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે માતાની આવક, તેના બીજા પતિની LIC એજન્સીમાંથી કમાણી અને તેમના જીવનશૈલીને ધ્યાનમાં લીધી હતી. 'દીકરીએ હોસ્પિટલમાં નોકરી મેળવી છે અને વધુ સહાયની જરૂર નથી':માતાશિક્ષણ ફીસ ચૂકવ્યા પછી અને દીકરીના અભ્યાસ પૂર્ણ થયા પછી, માતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તર્ક આપ્યો હતો કે 15 હજાર રૂપિયાનું માસિક ભરણપોષણ વધારે છે અને તેને 10 હજાર રૂપિયા ઠરાવવું જોઈએ. માતાએ કહ્યું હતું કે દીકરીએ જામનગરના ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં નોકરી મેળવી છે અને વધુ સહાયની જરૂર નથી. દીકરીએ આ વાત નકારી હતી એઅને કહ્યું હતું કે તે આ વર્ષે માત્ર બે મહિના નોકરીમાં હતી અને હવે બેરોજગાર છે. સાથે રહેવામાં દીકરી અસુવિધા અનુભવે છેમાતાએ જણાવ્યું હતુ કે તેની દીકરી પુખ્ત છે અને નોકરી માટે જરૂરી લાયકાત ધરાવે છે અને કહ્યું હતું કે જો આવી મોટી રકમ આપવામાં આવે તો દીકરી નોકરી મેળવવાનો પ્રયાસ નહીં કરે અને બેરોજગાર રહેશે. તેણીએ એમ પણ કહ્યું હતું કે દીકરીએ તેની સાથે રહેવું જોઈએ, પરંતુ દીકરીએ કહ્યું કે, તે સાવકા પિતા અને સાવકા ભાઈ સાથે રહેવામાં તે અસુવિધા અનુભવે છે. હાઈકોર્ટે માતાની અપીલ નકારી, બાકીના 2.25 લાખનું ભરણપોષણ ચૂકવવા નિર્દેશદીકરીએ ફરિયાદ કરી હતી કે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ફેમિલી કોર્ટને ભરણપોષણની રકમ નક્કી કરવાનો અધિકાર છે. હાઈકોર્ટે જણાવ્યું, આ કોર્ટનો અભિપ્રાય છે કે 15 હજાર રૂપિયાની ભરણપોષણ રકમ આપવામાં ફેમિલી કોર્ટે કોઈ ભૂલ કરી નથી. કોર્ટે માતાની અપીલ નકારી નાખી હતી. અને માતાને દીકરીને બાકીના 2.25 લાખ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવા નિર્દેશ આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:53 pm

ભુજમાં જૈન સમાજ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:29 ટીમોએ ભાગ લીધો, એકતા અને ખેલદિલીનો સંદેશ

ભારતીય જૈન સંગઠન (BJS) ભુજ ચેપ્ટર દ્વારા સમસ્ત જૈન સમાજ માટે શરદ બાગ પેલેસ ગ્રાઉન્ડમાં ચાર દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ BJS ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહના નેજા હેઠળ અને મહામંત્રી મનિષભાઈ નાગડાના માર્ગદર્શનમાં યોજાઈ હતી. બરસાના હોમ્સના જીગરભાઈ તારાચંદભાઈ છેડા આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં બાળકો, મહિલાઓ અને પુરૂષ એમ ત્રણ કેટેગરીમાં કુલ 29 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં બાળકોની 6, મહિલાઓની 7 અને પુરૂષોની 16 ટીમોનો સમાવેશ થતો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ જૈન સમાજમાં એકતા, રમતગમત અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. સમાપન સમારોહમાં આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપસ્થિત મહાનુભાવોમાં કે.વી.ઓ. જૈન મહાજન તથા સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ તારાચંદભાઈ છેડા, બીજેએસ કચ્છના પ્રમુખ હિતેશભાઈ ખંડોર, મહામંત્રી નીરવભાઈ શાહ, તેમજ જૈન સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી અને બીજેએસના વિવિધ ચેપ્ટર તથા ભુજ જૈન સંઘોના પદાધિકારીઓનો સમાવેશ થતો હતો. આ સમગ્ર આયોજનના મુખ્ય દાતા 'બરસાના હોમ્સ' ના જિગરભાઈ તારાચંદભાઈ છેડા રહ્યા હતા. આ ઉપરાંત, કેપિટલ કેન્વાસ, હિતેશભાઈ ખંડોર, નીરવભાઈ શાહ, દીપક ચા, મિત્સુ કલેક્શન, સુરભી યુનિફોર્મ્સ, ભારત સ્ટેશનર્સ, મધુ ઓપ્ટિક્સ, સાગર વોચ અને પરમેશ્વરી મોબાઈલનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે BJS ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહ અને મંત્રી મનીષભાઈ નાગડાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન નંદિત મહેતા, વિરાજ ગાંધી, ભવ્ય દોશી, જેકિલ મહેતા અને જેનીલ દોશીએ જહેમત ઉઠાવી હતી. ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ અમર મહેતાએ કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડ મેનેજમેન્ટ BJS ભુજ સ્પોર્ટ્સ કમિટીના સભ્યો રાજુભાઈ શાહ, સ્નેહલ ઝવેરી, પ્રેમ ઝવેરી, મેહુલ દેસાઈ, ભાવિન દેઢિયા, આદર્શ સંઘવી, નીલ શાહ, અમર મહેતા, પારસ દલાલ, હિતેશ પારેખ અને સમીર દોશી દ્વારા સુદ્રઢ રીતે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:49 pm

સરકારી યુનિ.ઓની ભરતીમાં અધ્યાપક સહાયકનો અનુભવ માન્ય ગણો:ગુજરાતમાં એસોસિયેટ પ્રોફેસર - પ્રોફેસરની ભરતીમાં પ્રવર્તતા મતમતાંતર દૂર કરવા કોંગ્રેસ પ્રવક્તાની માંગ

ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસરની ભરતીમાં ઉમેદવારનો અધ્યાપક સહાયક તરીકેનો અનુભવ માન્ય ગણવો કે કેમ તે મુદ્દે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર સ્પષ્ટતા કરે તેવી માગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ ઉચ્ચ શિક્ષણ કમિશનરને રજૂઆત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય એવા ડો.બારોટે માંગણી કરી છે કે, અધ્યાપક સહાયકનો અનુભવ એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં ગણવામાં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.નિદત બારોટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, હાલમાં ગુજરાત સરકારના તાબા હેઠળ રહેલી પબ્લિક યુનિવર્સિટીઝમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 ગુજરાત કોમન યુનિવર્સિટી સ્ટેચ્યુટ - 2024 અમલમાં છે. ગુજરાતની બધી યુનિવર્સિટીઓને તેમની યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી માટે યુજીસી રેગ્યુલેશન સમાન રીતે લાગુ પડે છે. આ સંજોગોમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ભરતી વખતે આવેલ અરજીઓ પૈકી અધ્યાપકોનો અનુભવ કયો માન્ય રાખવો તે સંદર્ભે મત મતાંતર પ્રવર્તી રહ્યા છે. રાજ્ય સરકારની સમાન નીતિ બધી જ યુનિવર્સિટીઓમાં છે. જેથી આપના તરફથી ચોક્કસ માર્ગદર્શિકાઓની આવશ્યકતા છે. ફિક્સ પગારમાં અધ્યાપક સહાયક તરીકે જે અધ્યાપકોએ કામ કર્યું છે અને હવે યુનિવર્સિટીઓમાં એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસર માટે અરજી કરે ત્યારે તેમણે અધ્યાપક સહાયક તરીકે કરેલા કામનો અનુભવ ધ્યાનમાં લેવાનો છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 16/02/2024 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અગાઉ આ બાબતની જાણ કરેલી છે. આમ છતાં આ બાબતનો યોગ્ય પ્રતિભાવ નવી ભરતીમાં મળી રહ્યો નથી. જ્યારે જુદી જુદી યુનિવર્સિટીઓમાં આ બાબતની જાણ ન હોય તેવું પણ બને. જેથી તા. 23/02/2024 ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આઉટવર્ડ નંબર 545 થી જે પત્ર કરવામાં આવ્યો છે તે બાબતની જરૂરી સ્પષ્ટતા કરતી વિગત ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓને મોકલી આપવાની જરૂરિયાત છે. EWS કેટેગરીમાં ઉમેદવારે જ્યારે અરજી કરવાની હોય ત્યારે તેની આવક મર્યાદાની જોગવાઈ કરવામાં આવી છે. જે કોઈ અધ્યાપક 8 અથવા 10 વર્ષ સુધી પૂરા પગારમાં કામ કરતો હોય તો તે અનુભવને અંતે હાલમાં તેનું પગાર ધોરણ EWS ની આવક મર્યાદાથી ઉપર જતું રહેતું હોવાથી, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં કોઈ ઉમેદવાર મળે નહીં તેવી રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ સંજોગોમાં અમારે એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં EWS લાગુ કરવું જોઈએ કે નહીં? આ વાતની સ્પષ્ટતા કરતા રાજ્ય સરકાર દ્વારા તા. 06/11/2025 ના રોજ બીડાણમાં જોડેલ પત્રથી સ્પષ્ટતા કરી છે કે અલગ અલગ ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓમાં ફિક્સ પગારમાં નોકરી કરેલ હોય તો તેમને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો જરૂરી અનુભવ હશે. આ સાથે જ તેમનો પગાર જો ફિક્સ પગારમાં કામ કર્યું હોય તો EWS ની મર્યાદાથી નીચે હોવાની પૂરી સંભાવના છે. જે ધ્યાને લઈને એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની EWS કેટેગરીમાં ભરતી કરી શકાય. આ પત્રથી સ્પષ્ટ થાય છે કે ફિક્સ પગારમાં કામ કર્યું હોય અને રાજ્ય સરકારની કોલેજ અથવા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હોય તો તેમનો અનુભવ ધ્યાને લઈને તેમને એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસર બનાવી શકાય. આ બાબતની પણ યોગ્ય સ્પષ્ટતા થવી જરૂરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, આપના તરફથી નીચે મુજબની બે સ્પષ્ટતા આવશ્યક છે.(1) અધ્યાપક સહાયકનો અનુભવ એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં ગણવામાં આવશે.(2) એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી વખતે જો કોઈ ઉમેદવાર સરકારી પ્રાઇવેટ કોલેજમાં ફિકસપગારમાં કામ કરીને આવતા હોય તો અને તેમની આવક મર્યાદા જો EWS ની જોગવાઈથી નીચે હોય તો તેમા અને જ્યાં આવક મર્યાદાની જરૂર ન હોય તો આ પ્રકારના ઉમેદવારના અનુભવ ધ્યાને લઈને તેમની ભરતી કરી શકાય. આ સંજોગોમાં પ્રાઇવેટ કોલેજોમાં યુનિવર્સિટીની મંજૂરીથી અધ્યાપક થયા હોય અને તેમને પૂરા ગ્રેડને બદલે ફિક્સ પગાર મળ્યો હોય તો તેમનો અનુભવ ધ્યાને લેવાનો રહે છે. આવી સ્પષ્ટ માહિતી જે તે યુનિવર્સિટીના કુલપતિઓને મળે તો ગુજરાતની અંદર અસંખ્ય અધ્યાપક સહાયકોને આનો લાભ મળવાનો છે. તદુપરાંત પ્રાઇવેટ કોલેજમાં વર્ષોથી કામ કરતા અધ્યાપકોને પણ નવી જગ્યાએ જવાની તક મળવાની છે. રાજ્ય સરકારનો અભિગમ અધ્યાપકો અને વિદ્યાર્થીઓલક્ષી હોય ત્યારે આ સ્પષ્ટતા આપના તરફથી કરવામાં આવે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:42 pm

માંજલપુરમા યુવકના મોત બાદ મનપા તંત્ર જાગ્યું:નવાયાર્ડ સરસ્વતી નગરમા ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડા પૂરાયા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી સાંજે ડ્રેનેજના ચેમ્બરમાં એક યુવાન પડી જતાં મોતને ભેટ્યો હતો. આ ઘટનાથી ગભરાયેલા ઇજારદારે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરસ્વતી નગરમા ડ્રેનેજની કામગીરી માટે ખોદાવેલા ખાડા તાત્કાલિક પૂરાવી દીધા હતા. આ કામગીરી છેલ્લા 20 દિવસથી ચાલી રહી હતી. પરંતુ, સુપર શકર મશીન ન મળવાના કારણે કામગીરી અટવાઇ પડી હતી. આ અંગે સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, નવાયાર્ડ સરસ્વતી નગરમા અમારા સાથી કાઉન્સિલરો હરીશ પટેલ સહિતના કાઉન્સિલરોએ સરસ્વતી નગરમા ડ્રેનેજ અને પાણીની સમસ્યા હોવાથી આ અંગેની કામગીરી શરૂ કરાવી હતી. ડ્રેનેજ લાઇન માટે સરસ્વતી નગરમા ખાડા ખોદ્યા હતાઇજારદાર દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને લાઇન નાખવા માટે સરસ્વતી નગરમા ખાડા ખોદ્યા હતા. આ ખાડાઓમાં લાઇન નાખવા માટે ડ્રેનેજની મેઇન લાઇન સુપર શકર મશીનથી સાફ કરવાની હતી. પરંતુ, ઉત્તર ઝોનમાં મશીનનો ઇજારો ન હોવાથી કામગીરી અટવાઇ હતી. 20 દિવસથી ખાડા ખોદી રાખ્યા હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, સરસ્વતી નગરમા લોકોના ઘર આગળ છેલ્લા 20 દિવસથી ખાડા ખોદી રાખ્યા હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું હતું. તાજેતરમાં એક મકાનમાં આગ લાગી હતી તે સમયે ફાયર બ્રિગેડને આગ બુઝાવવા ભારે મુશ્કેલી પડી હતી. સરસ્વતી નગરમા ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડા પૂરાયાતેમણે જણાવ્યું કે, આ કામગીરી પૂર્ણ ન થતાં મે શનિવારે ધરણાં ઉપર બેસવાની ચિમકી આપી હતી. જોકે, મોડી સાંજે માંજલપુરમાં યુવાન ખૂલ્લી ડ્રેનેજમાં પડી જતાં મોતને ભેટતા ઇજારદાર દ્વારા સરસ્વતી નગરમા ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડા તાત્કાલિક પૂરાવી દીધા હતા. આ અંગેની જાણ અમોને થતાં અમો કાઉન્સિલરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે, આજે સુપર શકર મશીન આવી ગયા બાદ ડ્રેનેજ ચેમ્બર સાફ કરી તબક્કાવાર ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, તેમ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:30 pm

ગોધરામાં બળદની કતલનો પ્રયાસમાં એક આરોપી ઝડપાયો:ગેની પ્લોટમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલો બળદ મળ્યો, બીજો આરોપી ફરાર

ગોધરાના ગેની પ્લોટ વિસ્તારમાં એક બળદની ક્રૂરતાપૂર્વક કતલ કરવાનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવ ગોધરા શહેરના ગેની પ્લોટ, ઉમર મસ્જિદ પાસે બન્યો હતો. આરોપીઓ એક સફેદ કલરના બળદને સ્વીફ્ટ ગાડી (રજી.નં. GJ-01-HR-0317) માં ટૂંકા દોરડાઓ વડે ખીચોખીચ બાંધી, મરણતોલ હાલતમાં લાવ્યા હતા. ત્યારબાદ તેઓ બળદને ગાડીમાંથી ઉતારી કતલ કરવાના ઇરાદે એક મકાનમાં બાંધી રહ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ ગણપતસિંહ ભીમસિંહની ફરિયાદના આધારે, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2011 (2017 સુધારા સાથે) ની કલમ 6(એ), 8(4), 10 તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ 11(1)(ડી)(ઈ)(એફ) અને જી.પી. એક્ટ કલમ 119 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં મહેફુઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ (રહે. ગેની પ્લોટ, ઉમર મસ્જિદ પાસે, ગોધરા) અને ઇર્શાદ યુસુફ મીઠા (રહે. મીઠીખાન મહોલ્લા, દારૂ સલામ મસ્જિદની બાજુમાં, ગોધરા) ને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે ઇર્શાદ યુસુફ મીઠાની ધરપકડ કરી છે, જ્યારે મહેફુઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો. તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે ઘટનાસ્થળેથી 25,000 રૂપિયાની કિંમતનો એક બળદ, 1,000 રૂપિયાનો ઇલેક્ટ્રોનિક વજનકાંટો, 20 રૂપિયાની છરી, 5,000 રૂપિયાનો મોબાઇલ ફોન, દોરડું, 1,00,000 રૂપિયાની સ્વીફ્ટ ગાડી અને 25,000 રૂપિયાનું મોટરસાયકલ સહિત કુલ 1,56,020 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસની વધુ તપાસ પો.સ.ઇ. એસ.એસ. મહામુનકર કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:28 pm

ગોધરામાં ભારતનું પ્રથમ સાર્વજનિક આલ્કલાઈન ATM શરૂ:નાગરિકોને ₹25માં 20 લીટર શુદ્ધ પાણી મળશે,6 જગ્યાએ મશીન મૂકાયા

ગોધરામાં ભારતનું પ્રથમ સાર્વજનિક આલ્કલાઈન વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. 27 ડિસેમ્બર, 2025ના રોજ ગોધરાના અટલ ઉદ્યાન ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું. આ પહેલ ગોધરા નગરપાલિકા અને નાસિક સ્થિત પ્રથમેશ એન્ટરપ્રાઈઝના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને ઓછી કિંમતે શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી પૂરું પાડવાનો છે. પ્રથમેશ એન્ટરપ્રાઈઝના સીઈઓ હરીશ જૈને જણાવ્યું હતું કે, ગોધરામાં કુલ 6 આલ્કલાઈન વોટર એટીએમ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે બે મોબાઈલ એટીએમ વાહનો પણ કાર્યરત રહેશે, જેથી લોકોને ઘરઆંગણે શુદ્ધ પાણી મળી શકે. આ પાણી અનેક રોગો સામે રક્ષણ આપવા માટે લાભદાયી માનવામાં આવે છે. કંપની અને નગરપાલિકા દ્વારા પાણીના ભાવ વાજબી રાખવામાં આવ્યા છે. નાગરિકોને 1 રૂપિયામાં 500 મિલી અને 25 રૂપિયામાં 20 લીટર પાણી મળશે. લોકો પોતાના ઘરેથી બોટલ લાવીને પાણી ભરી શકશે, જેનાથી સ્વચ્છતા પણ જળવાઈ રહેશે. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ આ પ્રોજેક્ટને આવકારતા જણાવ્યું હતું કે, શુદ્ધ આલ્કલાઈન પાણી પીવાથી રોગોથી મુક્તિ મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતભરમાં પ્રથમ વખત ગોધરાથી આ પહેલની શરૂઆત થઈ છે. તેમણે ગોધરાની જનતાને આ પ્રોજેક્ટનો લાભ લેવા અપીલ કરી હતી અને પોતે પાણીનો ટેસ્ટ કર્યો હોવાનું જણાવી ગુણવત્તાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર આર.એચ. પટેલ, પ્રમુખ જયેશ ચૌહાણ, ઉપપ્રમુખ સુનિલ લાલવાણી સહિત નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:19 pm

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો:કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેતવણી આપતા કહ્યું હતું કે, ખેડૂતોને નુકસાન પહોંચાડતા લેભાગુ તત્વો સામે કડક પગલાં લેવાશે

દેખાદેખીમાં નહીં, વૈજ્ઞાનિક રીતે ખેતી કરો તથા​ખેડૂતોની ખુશાલી અને જમીન બચાવવા ખાતર-પેસ્ટિસાઈડ્સનો 'સપ્રમાણ' ઉપયોગ જરૂરી- જીતુભાઈ વાઘાણીભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ એસોસિએશન દ્વારા આજરોજ એક ભવ્ય સ્નેહ મિલન અને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયેલા ભાવનગર (પશ્ચિમ)ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, આજે ભાવનગરમાં જીતુભાઈ વાઘાણી આમ તો લાંબા સમયથી એમના કોલેજ કાળથી એ નેતૃત્વ કરી રહ્યા છે અને સરકારની અંદર આ વખતમાં એમને કૃષિમંત્રી તરીકેની એક જવાબદારી સોંપેલી છે, ​અને એમનો એક ભવ્ય સત્કાર સમારોહ ભાવનગર જિલ્લા એસોસિએશન અમારું સીડ્સ એન્ડ પેસ્ટીસાઇડ્સનું એસોસિએશન છે, એણે ભાવનગર ખાતે આજે રાખ્યો છે. જેની અંદર 1,000 થી પણ વધારે અમારા સભ્યો, જે એગ્રોની દુકાન ધરાવે છે એ મિત્રો આમાં સામેલ થયા છે. કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે,​નરેન્દ્ર મોદી જે પ્રકારે કૃષિ ક્રાંતિ લાવવા માટે થઈને કામ કરી રહ્યા છે, એના કારણે ખેડૂતોનું જીવન બદલાઈ રહ્યું છે, વેલ્યુ એડિશનથી માંડીને આપણી જે ભૂમિ માતા છે, એમાં સપ્રમાણ ખાતર અને બીયારણ, કયા સમયે કેવા પ્રકારનું અને પેસ્ટિસાઈડ્સ કેટલા પ્રમાણમાં વાપરવું એની ગાઈડલાઈનો તો છે જ, પણ મને આનંદ છે કે વિક્રેતાઓએ પણ એનો સંકલ્પ કર્યો છે, એમના થકી જ સૌનો વ્યવસાય અને રોજગારી છે ત્યારે ખેડૂતની ખુશાલી વધે, ખેડૂતનું ઉત્પાદન વધે અને ખેડૂત ક્વોલિટી ઉત્પાદન કરે એ મહત્વનું છે એમના થકી જ જમીન બચે એના માટે સપ્રમાણ ઉપયોગ પણ થાય એના માટેની ચર્ચાઓ અને સંકલ્પો અમે અહીંથી તમામ લોકોએ કર્યા છે, વધુમાં જણાવ્યું હતું કે, ​હું પણ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે બાજુમાં કોઈ વધારે વાપરતું હોય એટલે આપણે પણ વાપરીએ એવું ન હોવું જોઈએ, સારી ફૂટ આવે, સારી કોળ હોય, સારું પાંદડું હોય અને સારું ઝીંડવું આવે અથવા અન્ય ફળ-ફળાદિ કે શાકભાજી હોય, એ જોવામાં તો સારા હોઈ શકે છે પણ આપણી જમીનના પોષક તત્વોને ભાવે એ પ્રકારે ખાતર, બીયારણ અને પેસ્ટિસાઈડ્સનો સપ્રમાણ ઉપયોગ થવો જોઈએ. આ શબ્દ 'સપ્રમાણ' નરેન્દ્રએ આપ્યો છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ રાજ્યનો અમારો કૃષિ વિભાગ આ પ્રકારે કામ કરી રહ્યો છે, ​આ જાગૃતિનું કામ આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે સપ્રમાણ વાપરવાથી આપણું શરીર, આપણી વ્યવસ્થાઓ અને સપ્રમાણ ખાવાથી પણ આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે, આ એક વૈજ્ઞાનિક અને કુદરતી સિદ્ધાંત છે જે બધાને લાગુ પડે છે, છોડ પણ સજીવ છે, એ પણ જીવ છે. એ બધાને ધ્યાનમાં રાખીને આપણી સમૃદ્ધિને વધારે સારી દિશામાં લઈ જવા માટે અમિતભાઈએ જે સહકારિતા મંત્રાલય હાથમાં લીધું છે, ત્યારે કૃષિ, પશુપાલન અને સહકારિતાથી એક અલગ પ્રકારની સમૃદ્ધિ દેશમાં આવવા જઈ રહી છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વદેશીનો પણ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટે અમારા જે ડીલરો છે એ બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે મને આનંદ છે કે જે લેભાગુ તત્વો ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે એમની સામે પણ પગલાં લેવા માટે સરકારે ધ્યાન દોર્યું છે, આ અંગે આયવા ઉપપ્રમુખ યશવંત પટેલ જણાવ્યું હતું કે, આખા ભાવનગર જિલ્લાની અંદરથી દરેક એગ્રોની દુકાનો આજે સ્વયંભૂ રીતે બધી બંધ રાખીને આ કાર્યક્રમમાં જોડાયા છે. આજુબાજુના જે જિલ્લાઓ છે બોટાદ, અમરેલી એ જિલ્લાઓમાંથી એમના આગેવાનો, પ્રમુખ, મંત્રી, તાલુકા કક્ષાની અને જિલ્લા કક્ષાની જે ટીમોમાં છે એ પણ જોડાયા છે ​અને રાજ્યની અંદરથી પણ રાજ્યના હોદ્દેદારો જે છે એ બનાસકાંઠાથી માંડીને સુરત સુધીના દરેક મિત્રો જે રાજ્યના હોદ્દેદારો છે એ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા, આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર જીલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ એસોસીએશનના બીપીનભાઈ સવાણી, અરવિંદભાઈ ટીંબડીયા જનરલ સેક્રેટરી આઈવા, યશવંતભાઈ પટેલ ઉપપ્રમુખ આઈવા, ધર્મેશભાઈ પટેલ જનરલ સેક્રેટરી આઈવા, વિક્રમસિંહ ગોહિલ ઉપપ્રમુખ ભાવનગર જીલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ એસોસિએશન તથા જીલુભાઇ ભૂકણ ઉપપ્રમુખ ભાવનગર જીલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ એસોસિએશનના હોદ્દેદાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:18 pm

નબીરાએ મર્સિડીઝને 360 ડિગ્રી ફેરવી ડ્રિફ્ટ મારી, VIDEO:સુરતના જાહેર માર્ગ પર ફૂલ સ્પીડમાં કાર હંકારી, સાયલેન્સરના અવાજો કરી ચાર વાર ગોળ ફેરવી સ્ટંટ કર્યા

ડાયમંડ સિટી સુરતમાં નબીરાઓ દ્વારા જાહેર માર્ગો પર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ-અલથાન રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લુ કલરની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. અલથાણ પોલીસે વાઇરલ વીડિયો આધારે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કારચાલક જય દાવરાની અટકાયત કરી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. નબીરાએ ફૂલ સ્પીડમાં કાર હંકારી રોડ પર સીનસપાટા કર્યા હતા અને તેનો વીડિયો પણ મિત્ર પાસે બનાવડાવી સોશિયલ મીડિયામાં મુક્યો હતો. કારના સાઈલેન્સરના અવાજ અને રોડ પર ડ્રિફ્ટ મારી આસપાસના લોકોની શાંતિ ભંગ કરી ખતરનાક સ્ટંટ કર્યા હતા. કારને 360 ડિગ્રીમાં ચાર વાર ગોળ ફેરવી ભયાનક સ્ટંટ કર્યાવાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાત્રિના સમયે એક નબીરો પોતાની બ્લુ રંગની મર્સિડીઝ કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો. તેણે જાહેર માર્ગને પોતાની અંગત માલિકીની જાગીર સમજીને કારને ફૂલ સ્પીડમાં હંકારી હતી. એટલું જ નહીં, મહાવીર યુનિવર્સિટીની બરાબર સામે જ તેણે કારને 360 ડિગ્રીમાં લગભગ ચાર વાર ગોળ-ગોળ ફેરવી (ડ્રિફ્ટિંગ) ભયાનક સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન ટાયર ઘસાવાનો અવાજ અને કારની ગતિ એટલી તીવ્ર હતી કે જો કોઈ અન્ય વાહનચાલક ત્યાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ લોકોમાં રોષલાખો રૂપિયાની ગાડીઓ લઈને મોડી રાત્રે રસ્તા પર નીકળતા આવા નબીરાઓ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં ફૂલ સ્પીડમાં કાર હંકારીને સાયલેન્સરના અવાજો અને ટાયર ઘસી યુવાનોએ શાંતિ ભંગ કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું આ નબીરાઓને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો?. જોખમી રીલ બનાવવા મામલે આરોપીની અટકાયતઅલથાણ પોલીસે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કારચાલક જય દાવરાની અટકાયત કરી છે. રાત્રે બેથી ચાર વાગ્યાના અરસામાં જાહેર માર્ગ પર જોખમી રીતે રીલ બનાવવા મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:11 pm

હિંમતનગર ફાયર વિભાગે હોસ્પિટલ સ્ટાફને તાલીમ આપી:આગ સામે સુરક્ષા માટે જાગૃત કરાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ફાયર વિભાગ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર અવેરનેસ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમ સિવિલ હોસ્પિટલ અને હોપ હોસ્પિટલના તબીબો તથા અન્ય કર્મચારીઓને અપાઈ હતી. GMERS જનરલ હોસ્પિટલ ખાતે Obstetrics Gynaecology વિભાગના ડોકટરો, નર્સિંગ સ્ટાફ, વર્ગ-4 સેવકો અને સિક્યુરિટી સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, હોપ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના કર્મચારીઓને પણ ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન, સિવિલના ફાયર ઓફિસર નઝરઅલી માસુ અને તેમનો સ્ટાફ તેમજ હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના સબ ઓફિસર મયંક પટેલ અને તેમની ટીમ હાજર રહી હતી. તેમણે ફાયર એક્સટિંગ્યુશરનો યોગ્ય ઉપયોગ, ઇવેક્યુએશન પ્રક્રિયા, RACE અને PASS પદ્ધતિઓ તેમજ આગ લાગવાની સ્થિતિમાં તાત્કાલિક લેવાતી મૂળભૂત સુરક્ષા કાર્યવાહી વિશે સમજાવ્યું હતું. આ તાલીમનું આયોજન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ (M.S.) ડૉ. આશિષ કટારકર અને RMO ડૉ. વિપુલ જાનીની દેખરેખ હેઠળ, તથા Obstetrics Gynaecology વિભાગના HOD ડૉ. શિલ્પા નિનામાની ઉપસ્થિતિમાં થયું હતું. તેનો મુખ્ય હેતુ હોસ્પિટલ સ્ટાફને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ જાગૃત અને સક્ષમ બનાવવાનો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:55 pm

મિયાણી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન અકસ્માત:બ્રેક ફેલ થતા બે વાહન બેરીકેટ સાથે અથડાયા, કોઈ જાનહાનિ નહીં

પોરબંદરના મિયાણી ચેકપોસ્ટ ખાતે 31 ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વાહન બેરીકેટ સાથે અથડાયા હતા. પોલીસ દ્વારા તમામ વાહનોને રોકવામાં આવી રહ્યા હતા તે સમયે એક ફોર વ્હીલર વાહન અચાનક કાબૂ બહાર ગયું. પ્રાથમિક માહિતી અનુસાર, વાહનની બ્રેક ફેલ થતાં તે ચેકપોસ્ટ પર મૂકાયેલા બેરીકેટ સાથે અથડાયું હતું. આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલું બીજું વાહન પણ અથડાયું હતું. ચેકપોસ્ટ પર વાહન રોકવામાં આવતા જ વાહનચાલકને બ્રેક ફેલ થયા હોવાની જાણ થઈ હતી. જોકે, સમગ્ર ઘટનાની સાચી હકીકત જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:51 pm

માનાવાડા શાળામાં નવા ઓરડાનું ખાતમુહૂર્ત:રૂ. 1.27 કરોડના ખર્ચે 3 ઓરડા બનશે, ધારાસભ્ય પી.કે.પરમારના હસ્તે કાર્યક્રમ

દસાડા તાલુકાની માનાવાડા પ્રાથમિક શાળામાં રૂ. 1.27 કરોડના ખર્ચે ત્રણ નવા ઓરડાના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. શાળાના હાલના ઓરડાઓ અત્યંત જર્જરિત બન્યા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વ્યાપી હતી. નવા ઓરડા બનવાથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમાર ઉપરાંત પાટડી તાલુકા પંચાયત પ્રમુખ પંકજભાઈ પટેલ, પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ ચાવડા, પાટડી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મણભાઈ વણોલ, પાટડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા, હસુભાઈ પાવરા, જિલ્લા સદસ્ય બબીબેન ઠાકોર, ચમનભાઈ સહિત ગામના સરપંચો અને આસપાસના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:38 pm

ગુજરાતમાં ટીબીના કેસો 10 વર્ષમાં 34 ટકા ઘટ્યા:મૃત્યુદરમાં પણ 37 ટકાનો ઘટાડો નોંધાયો, 3 વર્ષમાં 3.82 લાખ દર્દી સાજા થયા

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે ક્ષયરોગ (ટીબી) સામે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં નવા ટીબી કેસોમાં 34 ટકા ઘટાડો થયો છે, જ્યારે મૃત્યુદરમાં પણ 37 ટકાનો ઘટાડો નોંધાયો છે. 3 વર્ષમાં 3.82 લાખ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયાઆરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ વર્ષ 2022થી 2024 દરમિયાન કુલ 4,30,046 લોકોમાં ટીબીનું નિદાન થયું, જેમાંથી 3,82,739 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. આ સમયગાળામાં રાજ્યમાં ટીબીથી થતાં મૃત્યુમાં સતત ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022માં રાજ્યમાં 1,49,856 ટીબી દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 1,24,992 દર્દીઓ સાજા થયા હતા. વર્ષ 2023માં 1,42,294 દર્દીઓ નોંધાયા અને 1,32,809 દર્દીઓ સ્વસ્થ થયા. જ્યારે વર્ષ 2024માં 1,37,896 દર્દીઓમાં ટીબી નિદાન થયું અને 1,24,938 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થયા. 'સમાજની ભાગીદારીથી જ ટીબી સામેની લડત જીતી શકાય'રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકભવન, ગાંધીનગર ખાતે ટીબી નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા દરમિયાન જણાવ્યું કે, દરેક ટીબી દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે તે અનિવાર્ય છે. સમાજની ભાગીદારીથી જ ટીબી સામેની લડત જીતી શકાય. દર્દીને દર મહિને 1,000ની સહાય DBT દ્વારારાજ્યમાં 2,351 નિઃશુલ્ક માઇક્રોસ્કોપી સેન્ટર, 74 CBNAAT અને 326 TrueNat મશીનો દ્વારા ઝડપી નિદાનની સુવિધા ઉપલબ્ધ છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર નિઃશુલ્ક છે, જ્યારે નિક્ષય પોષણ યોજના હેઠળ દર દર્દીને દર મહિને 1,000ની સહાય DBT દ્વારા આપવામાં આવે છે. સરકારના સુવ્યવસ્થિત પ્રોટોકોલ, ટેક્નોલોજી આધારિત દેખરેખ અને નિક્ષય મિત્ર જેવી પહેલોના કારણે ગુજરાત આજે અન્ય રાજ્યોની સરખામણીએ ટીબી નિયંત્રણમાં અગ્રેસર રાજ્ય બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:36 pm

પોલીસની નોકરીના બહાને પાટણના યુવક સાથે 1.21 લાખની છેતરપિંડી:નકલી અધિકારી બની વિશ્વાસ કેળવી વિવિધ સ્થળોએ નાણાં પડાવ્યા

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કીમ્બુવા ગામના એક યુવક સાથે પોલીસ વિભાગમાં નોકરી અપાવવાના બહાને 1.21 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધપુરના કોટ ગામના અજીતસિંહ ઠાકોર નામના શખ્સે પોતે પોલીસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી યુવક પાસેથી 112 હેલ્પલાઇન, TRB અને પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી અપાવવાના બહાને કુલ 1,21,120 પડાવી લીધા હતા. આ મામલે સરસ્વતી પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદની વિગત મુજબ, કીમ્બુવા ગામના બળદેવભાઈ અમથાભાઈ ચમાર ગત 30 નવેમ્બરના રોજ પોતાના સાળા સાથે અમદાવાદથી પરત આવી રહ્યા હતા. તે સમયે અડાલજ ચોકડી પાસેથી અજીતસિંહ બળવંતસિંહ ઠાકોર નામનો શખ્સ તેમની ગાડીમાં પેસેન્જર તરીકે બેઠો હતો. મુસાફરી દરમિયાન અજીતસિંહે પોતાની ઓળખ એ.એસ.આઈ. તરીકે આપી અને તેની પત્ની પાટણમાં પી.આઈ. હોવાનું જણાવી બળદેવભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો. તેણે બળદેવભાઈને 112 હેલ્પલાઇનમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. નોકરીની જરૂરિયાત હોવાથી બળદેવભાઈએ તેનો સંપર્ક કરતા ઠગબાજે છેતરપિંડીનું કાવતરું રચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં TRBમાં નોકરી માટે બૂટના નામે ₹1,120 ઓનલાઈન મગાવ્યા હતા. ત્યારબાદ ઠગબાજે ફરિયાદીને અમદાવાદ અને ગાંધીનગર બોલાવ્યા. ગાંધીનગરથી પી.આઈ. બોલતા હોવાનો ખોટો મેસેજ કરીને ફરિયાદીને વધુ વિશ્વાસમાં લીધા હતા. તેણે સુરત ખાતે નોકરી અપાવવાના બહાને ગાંધીનગરના વહીવટ માટે ₹20,000ની માંગણી કરી. ફરિયાદીને સુરત લઈ જઈ ત્યાં પોલીસ કમિશનર કચેરીની બહાર ઊભા રાખી, ઠગબાજ પોતે અંદર જઈ પરત આવ્યો હતો અને વર્દી તથા અન્ય ખર્ચના બહાને વધુ નાણાં પડાવ્યા હતા. ઠગબાજે ફરિયાદીને પોલીસ કીટ અને બૂટ પણ આપ્યા હતા જેથી તેને શંકા ન જાય. છેતરાયેલા યુવકે ટુકડે-ટુકડે રોકડ અને ઓનલાઈન માધ્યમથી કુલ ₹1,21,120 ચૂકવ્યા હતા. જોકે, જ્યારે ફરિયાદીએ જોઈનિંગ લેટરની માંગણી કરી ત્યારે ઠગબાજે વધુ ₹3 લાખ માંગ્યા. ફરિયાદીએ આટલા નાણાં ન હોવાનું કહેતા તેને ₹60,000 ઓનલાઈન ટ્રાન્સફર કરવા દબાણ કર્યું. નાણાં ચૂકવ્યા બાદ ફરિયાદીએ જ્યારે અજીતસિંહ પાસે તેનું આઈ-કાર્ડ માંગ્યું ત્યારે તેણે આનાકાની કરી અને યોગ્ય જવાબ આપ્યો ન હતો. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા બળદેવભાઈએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 318(2), 319(2) અને 204 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:30 pm

બોટાદમાં સ્વામિનારાયણ મંદિરે શતામૃત મહોત્સવ શરૂ:દાદા ખાચરની તિથિ પર વંશજો અને સંતોએ પૂજન કર્યું

બોટાદના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં 175મો શતામૃત મહોત્સવ શરૂ થયો છે. આ મહોત્સવ અંતર્ગત દાદા બાપુ ખાચરની તિથિ નિમિત્તે તેમના વંશજો અને સંતો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણના સંકલ્પસિદ્ધ મહાપ્રતાપી ચરણારવિંદનો આ 'શતામૃત મહોત્સવ' બોટાદ ખાતે ભવ્યતાથી ઉજવાશે. આ મહોત્સવ પ.પૂ. ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીની પ્રેરણાથી યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ સંવત 2082 પોષ સુદ ૫ (તા. 25-12-2025) થી પોષ સુદ 12 (તા. 31-12-2025) સુધી ચાલશે. સંતો અને હરિભક્તોને આ દિવ્ય અવસરનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહા મુક્તરાજ દાદા ખાચરનું જીવન શ્રીજી મહારાજને સમર્પિત હતું. તેમના પ્રેમ, ભક્તિ અને સમર્પણને કારણે ભગવાન સ્વામિનારાયણ ગઢડાને પોતાનું ઘર માનીને આજીવન દાદા ખાચરના દરબારમાં બિરાજમાન થયા હતા. આ પ્રસંગને સંવત 2082 મહા સુદ-10 ના રોજ 201 વર્ષ પૂર્ણ થાય છે. આ પૂજન ગઢડામાં દાદા ખાચર વંશજ પરિવારના આઠમી પેઢીએ મહાવીરભાઈ ભાભલુભાઈ ખાચરના પુત્ર ધર્મદીપભાઈ ખાચર અને સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:29 pm

અમદાવાદમાં વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીનો ખેલ:શાહીબાગમાં 1.58 કરોડ, કુબેરનગરમાં 91 લાખ અને નવરંગપુરામાં 1.29 કરોડની ઠગાઈ, આર્થિક ગુના શાખામાં ફરિયાદો નોંધાઈ

અમદાવાદ શહેરના વેપારીઓ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કાપડના વેપારીઓ સાથે અન્ય વેપારીઓ છેતરપિંડી આચરી રહ્યા છે. શાહીબાગમાં વેપારી સાથે 1.58 કરોડની, કુબેરનગરના વેપારી સાથે 91 લાખની અને નવરંગપુરા ના વેપારી સાથે 1.29 કરોડની અન્ય વેપારીઓ છેતરપિંડી આચરી છે. ફરિયાદી વેપારી પાસેથી માલ ખરીદ્યા બાદ ટુકડે ટુકડે રકમ આપી જે બાદ મોટું પેમેન્ટ આપ્યું નહીં. જ્યારે ફરિયાદીઓએ પેમેન્ટ માટેની માંગણી કરતા અન્ય વેપારીઓએ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી, ફરિયાદીઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. શાહીબાગમાં 1.58 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવીશાહીબાગમાં રહેતા નીરવ કનોડિયાની 'કનોડિયા ડેનિમ' નામની ઓફિસ સારંગપુર વિસ્તારમાં આવેલી છે. નીરવ કનોડિયા બેનીમ ફેબ્રિકનો વેપાર કરે છે. નીરવ કનોડિયા પાસેથી નંદપ્રિયા ફેબ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય પાંડે અને નિરૂપમા પાંડેએ વિશ્વાસ કેળવી જથ્થાબંધ ડેનિમ ફેબ્રિકનો માલ ખરીદ્યો હતો. 8.35 કરોડનો માલ ખરીદી 90 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની ખાતરી આપી હતી. જે બાદ ટુકડે-ડુકડે 2019થી 2023 સુધીમાં 6.76 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા તેમછતાં 1.58 કરોડ રૂપિયા લેવાના બાકી હોવાથી નીરવ કનોડિયાએ ઉઘરાણી કરતા બાકીના રૂપિયા આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. જે બાદ તેની દુકાનના સરનામા પર જઈને તપાસ કરતા દુકાન બંધ કરી ભાગી ગયો હોવાનું સામે આવતા ફરિયાદીએ બંને લોકો સામે 1.58 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નીરવ કનોડિયા સાથે 5 વેપારીઓએ 2.64 કરોડની ઠગાઈ કરીનીરવ કનોડિયા પાસેથી કલરિધાન ટ્રેન્ડસ લિમિટેડના માલિક આદિત્ય નિરંજન અગ્રવાલે કંપનીના દલાલ મહેશ મારફતે નંદપ્રિયા ફેબ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં 64 લાખથી પણ વધુનો માલ ખરીદ્યો હતો. તેમજ શ્રી જય ગુરુદેવ ટેક્સટાઇલના દલાલ મયંક ખન્ના અને પુરુષોત્તમ શર્માએ 74 લાખનો માલ ખરીદ્યો હતો જેની રકમ અવાર નવાર ફરિયાદીએ માંગી છતાં આપવામાં આવી નહીં તો SRD ટેક્સટાઇલના માલિક રમેશ તાયલે 31 લાખનો માલ ખરીદ્યો હતો તેની રકમ પણ ફરિયાદીને ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. નીરવ કનોડિયાને 5 જેટલા વેપારીઓએ કુલ 2.64 કરોડ રૂપિયાની ચૂકવણી ન કરતા પાંચેય લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કુબેરનગરમાં વેપારી સાથે 91 લાખની ઠગાઈકુબેરનગર વિસ્તારમાં રહેતા વેપારી સાથે પણ છેતરપિંડી થઈ છે. દલાલ મીઠાલાલ ઉર્ફે મહેશ બગનાણી અને ઘનશ્યામ મહેશભાઈ બગનાણી પાંચકુવા વિસ્તારમાં રિતેશકુમાર નામની ફર્મ ચલાવે છે. જેમને ફરિયાદી વેપારીનો વિશ્વાસ કેળવી રિતેશકુમાર નામની ફર્મમાથી કે.એચ. ક્રિએશનમાંથી 2018થી 2021 સુધી 3.28 કરોડનો રેડીમેડ કુર્તી, રિ, કોટનનો કપડાનો માલ 30 દિવસની ઉધારીમાં ખરીદ્યો હતો. જે સમયમાં પેમેન્ટની ચૂકવણી કરવાનો વાયદો કર્યો હતો તે સમયમાં ચૂકવણી કરી નહતી. જે બાદ ટુકડે ટુકડે વર્ષ 2022માં 2.37 કરોડની ચૂકવણી હતી. પરંતુ તેમ છતાં 91 લાખ જેટલા રૂપિયા વેપારીને લેવાના નીકળતા હતા. જે બાદ ફરિયાદી વેપારીએ અનેક વખત રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ માલ વહેંચી દીધા બાદ પણ બાકી રહેતું પેમેન્ટ ન કરતા ફરિયાદીએ દલાલ દલાલ મીઠાલાલ ઉર્ફે મહેશ બગનાણી અને ઘનશ્યામ મહેશભાઈ બગનાણી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 55 વર્ષીય વેપારી સાથે 1.29 કરોડની છેતરપિંડી55 વર્ષીય નિમિષભાઈ શાહ છેલ્લા 15 વર્ષથી લોખંડની અલગ-અલગ વસ્તુઓ ખરીદ વેચાણ કરવાનું કામ કરે છે. જેમનો હિતેશ પંચાલ નામના વ્યક્તિએ વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદીનો ભરોસો જીતીને પાશ્વનાથ સ્ટીલ ટ્યૂબ ટ્રેડમાંથી 2024થી 2025 સુધીમાં લોખંડના પતરા, પ્લેટ, ગેલ્વેનાઈઝના પતરા, ગેલ્વેનાઈઝ પતરાની કોઈલ, ચેનલ, સી.આર.ના પતરા અલગ-અલગ 24 ટેક્સ ઇનવૉઇસ બિલ મારફતે 1.73 કરોડનો માલ લીધો હતો. જે બાદ 73 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ એક કરોડની રકમ ચૂકવી નહીં તેમજ મનીષભાઈ પાસેથી કર્ણાવતી સ્ટીલ ટ્રેડર્સમાથી વર્ષ 2025માં 1.17 કરોડનો લોખંડની ચેનલ તથા એંગલ મળી સાથેનો માલ અલગ-અલગ કુલ 7 ટેક્સ ઇનવૉઇક્સ બિલ મારફતે ખરીદી કરી હતી. માલ લીધા બાદ રકમની ચુકવણી કરી ન હતી તેમજ આરોપી દિપક રાઠોડ ફરિયાદીની શ્રી પાર્શ્વનાથ સ્ટીલ ટ્યુબ ટ્રેડર્સમાંથી વર્ષ 2024માં પત્ર તથા લોખંડની પાઇપો મળી કુલ 24 લાખનો માલ ખરીદ્યો હતો. જે બાદ ફરિયાદીને 13 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. જે બાદ બાકીનું પેમેન્ટ ન આપતા માલ બીજા વેપારીઓને વેચી ફરિયાદીને નાણાં ન આપ્યા. કુલ 1.29 કરોડ રૂપિયા નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરતા ફરિયાદીએ દિપક રાઠોડ અને હિતેશ પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:22 pm

બડોદર ગામમાં ગ્રામસભાનો બહિષ્કાર.:ભ્રષ્ટાચાર અને અધૂરા કામોના વિરોધમાં ગ્રામસભાનો બહિષ્કાર: સરપંચ-તલાટીની હાજરીમાં જ ગ્રામજનોએ ઠાલવ્યો રોષ, નબળી ગુણવત્તાના કામોનો આક્ષેપ..

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બડોદર ગામેં યોજાયેલ ગ્રામસભા દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ગામમાં લાંબા સમયથી પડતર પ્રશ્નો, વિકાસના કામોમાં થતી નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મહિલા સરપંચ સહિત સમગ્ર ગ્રામજનોએ ગ્રામસભાનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગામના વિકાસના કામો કાગળ પર જ રહી જતા હોય અને વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાથી લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નબળા કામો અને અધૂરી સુવિધાઓથી જનતા પરેશાન બડોદર ગામના મહિલા સરપંચે પોતે સ્વીકાર્યું હતું કે ગામમાં અનેક વિકાસ કામોની ફાળવણી તો થઈ છે, પરંતુ તેની ગુણવત્તા અત્યંત નબળી છે. રોડ-રસ્તા, સ્કૂલ અને હોસ્પિટલના કામો હાલ અધૂરી હાલતમાં છે. ગામમાં જ્યારે પણ કામ શરૂ થાય છે ત્યારે નબળી ગુણવત્તાને કારણે ગ્રામજનો વિરોધ કરે છે અને કામ બંધ પડી જાય છે. સરપંચની માંગ છે કે ગામમાં તમામ કામગીરી નીતિ-નિયમો મુજબ અને ગુણવત્તાયુક્ત થવી જોઈએ. વર્ષમાં ચાર ગ્રામસભાઓ છતાં કામ શૂન્ય: ગ્રામજનો ગામના અગ્રણી પ્રતાપભાઈ જેબલીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષમાં ચારથી વધુ ગ્રામસભાઓ યોજાય છે અને તેમાં અનેક મુદ્દાઓ સૂચવવામાં આવે છે, પરંતુ આ મુદ્દાઓ ક્યારેય ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવતા નથી. ગામથી ગામને જોડતા રસ્તાઓ, પેવર બ્લોકની કામગીરી અને ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોના મતે, ગ્રામસભા માત્ર નામ પૂરતી યોજાય છે અને ભ્રષ્ટાચારને કારણે વાસ્તવિક વિકાસ થતો નથી, જેના વિરોધમાં આજે બહિષ્કારનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગંદકી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશ કમલેશભાઈ મહિડાએ જણાવ્યું કે ગામમાં ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી પાણી બહાર નીકળતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સ્કૂલના કામમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાથી કામ બંધ કરાવવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરો મનમાની કરીને ફરીથી નબળું કામ શરૂ કરી દે છે. આ બાબતે રજૂઆત કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. બાળકોને સ્કૂલમાં ભણવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તલાટી મંત્રીએ પણ લોકોના રોષને વ્યાજબી ઠેરવ્યો હાલમાં જ ચાર્જ સંભાળનાર તલાટી મંત્રી ભૂમિકાબેન ડાભીએ જણાવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆતો યોગ્ય રીતે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી નથી તે સત્ય છે. 66 KV સબ સ્ટેશન માટે જગ્યાનો પ્રશ્ન હોય કે ગામને જોડતા રસ્તાની વાત હોય, લોકોની અપેક્ષાઓ પૂર્ણ ન થતા આજે ગ્રામસભામાં વિરોધ થયો છે. તેમણે ખાતરી આપી હતી કે હવે તમામ પડતર પ્રશ્નો અને ગ્રામજનોની માંગણીઓને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી વહેલી તકે ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:21 pm

વરાછામાં હીરા વેપારી સાથે 30.21 લાખની ઠગાઈ:રેડિટ પર હીરા મેળવ્યા બાદ પેમેન્ટ આપવાને બદલે હાથ ઊંચા કરી દીધા, બિલ્ડર સહિત બે સામે ફરિયાદ

શહેરના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછાના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરા એક્સપોર્ટનો વ્યવસાય કરતા એક વેપારીને તેમના જ પરિચિત યુવકે એક બિલ્ડર સાથે મેળાપીપણું કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓએ વેપારી પાસેથી ક્રેડિટ પર હીરા મેળવ્યા બાદ પેમેન્ટ આપવાને બદલે હાથ ઊંચા કરી દેતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. એક પ્રતિષ્ઠિત બિલ્ડર તરીકે ઓળખાવી ભરોસો જીત્યોઘટનાની વિગત મુજબ, મૂળ ભાવનગરના વતની અને સુરતના મોટા વરાછામાં સીટિલાઈટ રો-હાઉસમાં રહેતા 47 વર્ષીય નિલેશભાઈ બાબુભાઈ પટેલ વરાછા ચોકસી બજારમાં 'નિશા એક્સપોર્ટ' નામે પેઢી ધરાવે છે. માર્ચ 2025માં તેમના પરિચિત નિખિલ અંટાળાએ તેમની મુલાકાત પ્રકાશ બાબુભાઈ અંટાળા નામના વ્યક્તિ સાથે કરાવી હતી. નિખિલે પ્રકાશને એક પ્રતિષ્ઠિત બિલ્ડર તરીકે ઓળખાવીને નિલેશભાઈનો ભરોસો જીત્યો હતો અને જણાવ્યું હતું કે તેમને મોટા પ્રમાણમાં હીરાની જરૂર છે. આરોપીઓએ 64.68 કેરેટના 'નેચરલ ફેન્સી હીરા' મેળવ્યાઆ વ્યવહારમાં નિખિલ અને પ્રકાશ અંટાળાએ સાથે મળીને માર્ચ મહિનાની 18મી તારીખથી 26મી તારીખ દરમિયાન નિલેશભાઈની ઓફિસમાંથી હીરાની ખરીદી શરૂ કરી હતી. આરોપીઓએ અલગ-અલગ તબક્કે કુલ 64.68 કેરેટના 'નેચરલ ફેન્સી હીરા' મેળવ્યા હતા, જેની બજાર કિંમત 30,21,000 થતી હતી. આ હીરા લેતી વખતે આરોપીઓએ ટૂંક સમયમાં નાણાં ચૂકવી આપવાની ખાતરી આપી હતી, જેથી વેપારીએ વિશ્વાસ રાખીને માલ સોંપ્યો હતો.જોકે, હીરાની ડિલિવરી લીધા બાદ આરોપીઓની દાનત બગડી હતી. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધોપેમેન્ટનો સમય આવતા જ બંને આરોપીઓએ વાયદાઓ કરવાના શરૂ કર્યા હતા અને સમય પસાર કરવા લાગ્યા હતા. વેપારીએ જ્યારે કડક ઉઘરાણી કરી ત્યારે બંનેએ સ્પષ્ટપણે પૈસા આપવાની ના પાડી હાથ ઊંચા કરી દીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા, નિલેશભાઈએ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યાઆખરે ભોગ બનનાર વેપારીએ વરાછા પોલીસ મથકમાં નિખિલ અંટાળા અને પ્રકાશ અંટાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હીરા બજારમાં આ પ્રકારની ઘટનાએ ફરી એકવાર વેપારીઓમાં ચર્ચા જગાવી છે. પોલીસ હાલ આરોપીઓની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:15 pm

હિંમતનગરમાં ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ:ગાંધીનગરમાં 2026ના શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પર ચર્ચા

હિંમતનગરમાં ભારતીય કિસાન સંઘના કાર્યાલય ખાતે એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શક્તિ પ્રદર્શનની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ શક્તિ પ્રદર્શન ભારતીય કિસાન સંઘની 25થી વધુ પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈને સરકાર સામે યોજાશે. શનિવારે હિંમતનગર જિલ્લા ભારતીય કિસાન સંઘના કાર્યાલય ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લા પ્રમુખ, કારોબારી સભ્યો, તાલુકા પ્રમુખો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 17માં વિધાનસભા સામે સરદાર પટેલની પ્રતિમા પાસે સવારે 9 કલાકે આ શક્તિ પ્રદર્શન યોજાશે. બેઠકમાં કિસાનોના 25થી વધુ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકાર સામે શક્તિ પ્રદર્શનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ શક્તિ પ્રદર્શનમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 8 થી 10 હજાર કિસાનો જોડાશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:11 pm

ખુલ્લી ગટરમાં એકનો જીવ ગયા બાદ વડોદરા મનપા જાગી:રાતોરાત ઢાંકણ મૂકી બેરેકેટિંગ કરી દેવાયું, કમિશનરે કહ્યું- 'જવાબદારો સામે પગલાં લેવાશે'

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકીની સફાઈ દરમિયાન પાણીના નિકાલ માટે 15 ફૂટથી વધુ ઊંડી ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેમાં પડી જવાથી યુવકે જીવ ગુમાવ્યો છે. ભાસ્કરે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા વડોદરા મનપાએ રાતોરાત મેન હોલ પર ઢાંકણું મૂકી ફરતે બેરિકેટિંગ કરી દીધું હતું. મ્યુ. કમિશનરે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં જેમની પણ બેદરકારી છે તેમની સામે પગલાં લેવામાં આવશે. ખુલ્લી ગટરમાં પડતી જતા યુવકનું મોત નિપજ્યું હતુંમાંજલપુર વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટનામાં એલેમ્બિકમાં નોકરી કરતા અને નિવૃત Dyspના પુત્ર વિપુલસિંહ મોહનસિંહ ઝાલા (ઉંમર વર્ષ 43)નું મોત નીપજ્યું હતું. આ યુવક અને તેઓના સંબંધી સાથે ચાઈનીઝ ખાવા ગયા હતા અને અને આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક વિપુલસિંહ ઝાલાને પાંચ વર્ષનો પુત્ર છે. આજે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના અંગે અમે સ્થળ પર પહોંચ્યા તો બેદરકાર તંત્રએ યુવકના મોત બાદ ગટરનું ચેમ્બર બંધ કરી તેના પર બોર્ડ મૂકી દીધું હતું. આ ચેમ્બર આસપાસ જડબેસલાક ઘટના બાદ તાત્કાલિક બેરીકેટિંગ કરેલ નજરે પડ્યું હતું. આ ઘટના અંગે આસપાસના લોકો સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. આ ઘટના જ્યાં બની હતી ત્યાં પાણીની ટાંકી આવેલી છે અને ત્યાં જ એક એમ્બ્યુલન્સ પણ ઉભી રહે છે. પરંતુ આ યુવકને બહાર કાઢવામાં સમય લાગ્યો જેથી તેનો જીવ બચી શક્યો નહીં. અમે સ્થળ પર જોયું તો જાણે અહીંયા કઈ થયું જ ન હોય તેવી રીતે દ્રષ્ટિહીન તંત્રએ ઘટના સ્થળે બેરીકેટિંગ અને ચેમ્બરને ઢાંકણ મારી કામગીરી પૂર્ણ કરી દીધી હતી. અમે અહીંયા પોહચી સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. લોકોએ વડોદરા મહાનગરપાલિકા પર રોષ ઠાલવ્યોઆ ઘટના અંગે સ્થાનિક દશરથ લીલાધરભાઈ મિસ્ત્રીએ કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના અંગે જાણ્યું તે બહુ ખોટું થયું છે. આ કોર્પોરેશનની બેદરકારીને કારણે જ આવું થયેલું છે. આવી રીતે આટલી ગટરનું ઢાંકણું ખુલ્લું મૂકેલું હોય અને કોઈ માણસનો પગ પડી જાય અને તેનું મૃત્યુ થાય તો તેની જવાબદારી કોણ લેશે હવે? કોન્ટ્રાક્ટર લેશે કે કોર્પોરેશન લેશે?. આ જવાબદારી કોર્પોરેશનની છે. છેલ્લા છ મહિનાથી આ આખું વડોદરા ખોદી નાખ્યું છે. તમે જ્યાં જાઓ ત્યાં ખોદ-ખોદ-ખોદ! આ રોડ પ્લેન દોડે એવા હતા, આજે થીગડાં મારે છે અને થીગડાંમાંય કોઈ ઠેકાણા નથી. વધુમાં કહ્યું કે, કોઈ માણસ જોવા જ નથી આવતું ને કે આ કોન્ટ્રાક્ટર કામ કરે છે કે નહીં? બસ, કરી નાખ્યું ને પતી ગયું. આ ઘટનામાં જવાબદાર તો કોર્પોરેશન જ છે. ભલે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય પણ જવાબદારી તો કોર્પોરેશનની છે. એણે ધ્યાન રાખવું જોઈએ કે આ શું થયું?હવે અહીંયા આ બ્રિજ બન્યો છે, અમને એટલો ત્રાસ છે સાંજે કે અમારે રોડ ક્રોસ કેવી રીતે કરવો, અમે કંટાળી ગયા છીએ. કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ આ ઘટના અંગે અહીંના સ્થાનિક આગેવાન ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે, આ ઘટના માંજલપુર પાણીની ટાંકી પાસેની બને છે અને આ ખુલ્લા ડ્રેનેજના ચેમ્બરમાં વિપુલસિંહ ઝાલા નામના યુવાનનું કરૂણ મોત થાય છે. આ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે.મને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક સ્થળ પર હું પહોંચી ગયો હતો અને અમે લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ આવી હતી, ફાયરમેનોએ એ વ્યક્તિને કાઢ્યો હતો અને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં કહ્યું કે, સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અમે અને તેઓને CPR આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ જીવ બચાવી શક્યા ન હતા. આ તંત્રની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. નિર્દોષ વ્યક્તિના મોત બાદ આજે તંત્ર જાગ્યું છે અને અહીંયા બેરીકેટ લગાવ્યા છે. ગઈકાલે જ કે જ્યારે આ કામગીરી ચાલી રહી છે ત્યારે આવા બેરીકેટ કે આવા સમયસૂચકો, ભયસૂચકો બેરીકેટ લગાવવામાં આવ્યા હોત કે અહીં એક હોર્ડિંગ લગાવવામાં આવ્યું હોત તો આવો બનાવ ના બન્યો હોત અને કોઈ પરિવારે પોતાનો ઘરનો મોભીના ગુમાવવાનો વારો આવ્યો હોત. વધુમાં કહ્યું કે, આ ઘટના અંગે જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે અને આ જે તે કોન્ટ્રાક્ટર છે તેની સામે FIR નોંધવામાં આવે એવી મારી સ્પષ્ટ માંગણી છે. આ દુર્ઘટનામાં જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે- મ્યુ. કમિશનરઆ ઘટના અંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,ગઈ કાલે રાત્રે ઘટના બની છે, અમને લગભગ 8:45ની આજુબાજુ ધ્યાને આવેલી હતી. પછી તાત્કાલિક ધોરણે અમે ફાયરની ટીમો મોકલીને સ્થળ ઉપર રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જે માણસને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ લઈ ગયા હતા, પણ ત્યાં એનું મૃત્યુ થઈ ગયું હતું તેવું જાહેર કરવામાં આવ્યું હતું. ગઈકાલે બે જગ્યા પર પાણીની ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસ ચાલતું હતું. આના પછી જે નજીકના કેમ્પસની બહાર રોડ ઉપર એક મેનહોલ હતો, એની ઉપર જે ડ્રેન ગ્રીડ નાખવાની હતી એ રહી ગયું હતું એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે. વધુમાં કહ્યું કે, ગઈ કાલે રાત્રે પણ એની તપાસ આપવાનું કીધું હતું અને તપાસ આપીને સવારે પાણી પુરવઠા વિભાગ દ્વારા બ્રીફ કરવામાં આવ્યું છે. હવે જે પણ સ્થળ ઉપર જેને કામગીરી, ઇજારદારને કામગીરી સોંપી હતી એના ઉપર કાયદાકીય પગલાં અત્યારે લેવામાં નક્કી કર્યું છે. ટુ ધ એક્સ્ટેંટ એમને બ્લેકલિસ્ટ કરવા માટે પણ અમે અત્યારે ડિસિઝન લીધું છે અને સુપરવિઝનમાં જે રોલ હતી, એના ઉપર પણ કાર્યવાહી કરવા માટે અત્યારે સૂચના આપી છે. આ ઘટના બાદ અન્ય જગ્યાએ પણ આ પ્રકારની સ્થિતિ છે તે બાબતે પૂછાતા તેઓએ જણાવ્યું કે, દરેક રિવ્યુ મીટિંગમાં સોલિડ વેસ્ટ, ડ્રેનેજ , મિકેનિકલ શાખા , રોડ પ્રોજેક્ટ, વોટર સપ્લાય તમામ વિભાગોને અમે સૂચના આપતા હોઈએ છીએ. જ્યારે પણ રોડ ખોદવામાં આવે જેમાં ડ્રેજિંગ કરવાનું કામગીરી હોય ત્યારે વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મારવું અને જ્યાં જ્યાં બેરીકેટ કરવા જેવી વસ્તુઓ હોય એ તાત્કાલિક ધોરણે કરવા માટે જે તે વિભાગના અધિકારી અને જે તે ઇજારદારને કે કોન્ટ્રાક્ટર હોય, ઇજારદાર દ્વારા પણ એ કરવાનું ફરજિયાત હોય છે. પણ જે ઘટના ગઈકાલે બની છે એ અફસોસની વાત છે. પણ અમે કડક સૂચના આજે પણ સવારે ગ્રુપમાં પણ લખ્યું છે કે દરેક સ્પોર્ટ ઉપર જે કન્સર્ન અધિકારી છે તે વિઝિટ કરે અને તાત્કાલિક ધોરણે જે પણ પગલા લેવાના હોય એ કરે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ક્યારેય પણ ના બને. વધુમાં કહ્યું કે, આ ઘટના બાદ ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સ જે ફિલ્ડમાં કટિંગ એજમાં કામગીરી કરતા હોય છે એમને સૂચના આપી છે. સુપરવિઝન લેવલની જે DEs અને EEs હોય એમને પણ આના ઉપર જવાબદારી પૂર્વક કામગીરી કરવા માટે સૂચના આપી છે. આ ઘટના બાદ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં એવી કોઈ ઘટના ના બને એના માટે પણ સુપરવિઝન વધારે કરવા માટે પણ સૂચના આપી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:06 pm

અમદાવાદમાં ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી ઉતારીને ફેંક્યા:સૌથી મોટા પેલેડિયમ મોલમાં ઘૂસી ધમાલ મચાવી, પોલીસ પકડીને લઈને જતા ધમકી આપી- 'ફરીથી આવીશું'

હિંદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે 27 ડિસેમ્બરના રોજ અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવાન સેનાના ચારથી પાંચ કાર્યકર્તાઓ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ગયા હતાં અને મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીને નીચે પાડી તોડફોડ કરવામાં આવી હતી. જે પણ ક્રિસમસ ટ્રી લગાવ્યા હતા તેને તાત્કાલિક દૂર કરવા માટે ભગવા સેના દ્વારા માગ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી કાર્યકર્તાઓને અટકાયત કરી લઈ ગઈ હતી. સમજાવટ બાદ પણ તોડફોડ કરીઉલ્લેખનિય છે કે, 25 ડિસેમ્બરથી લઇ 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને અલગ-અલગ જગ્યાઓ અને મોલ પર ક્રિસ્મસ ટ્રી, શાંતાક્લોઝ, લાઈટિંગ સહિતના શણગાર કરવામાં આવતા હોય છે. આજે પેલેડિયમ મોલમાં અચાનક જ ભગવા સેનાના કાર્યકર્તાઓ આવી જતા સિક્યુરિટીમાં દોડધામ મચી ગઈ હતી. મોલ દ્વારા તેઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં પણ તેઓ દ્વારા તમામ ક્રિસ્મસ ટ્રી અને શણગારેલી વસ્તુઓમાં તોડફોડ કરી દૂર કરવા માટે માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 3:05 pm

બોટાદના ઢીંકવાળી-લાઠીદડ માર્ગનું ડામરકામ ટૂંક સમયમાં શરૂ:મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ

બોટાદ જિલ્લાના ઢીંકવાળી અને લાઠીદડ ગામને જોડતા માર્ગ પર ટૂંક સમયમાં ડામરકામ શરૂ થશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કાચા રસ્તાને પાકા ડામર રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લા પંચાયતના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. હાલ આ માર્ગ પર મેટલિંગ અને માઇનર બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે હવે પૂર્ણતાના આરે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ તરત જ ડામરકામ શરૂ કરવામાં આવશે. લાંબા સમયથી કાચા રસ્તાને કારણે વાહનવ્યવહાર અને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રામજનો અને ખેડૂતો માટે આ કામગીરી રાહતરૂપ સાબિત થશે. ડામર રોડ તૈયાર થવાથી ઢીંકવાળી ગામના રહેવાસીઓ અને ખેડૂતોને લાઠીદડ ગામ સુધી પહોંચવું સરળ બનશે. આ ઉપરાંત, ખેતી પેદાશોના પરિવહનમાં સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 2:56 pm

કોમર્શિયલ કમ રેસીડેન્સીમાં સ્પાની આડમાં ગોરખધંધો ચાલતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ:અમદાવાદના આશીર્વાદ એવન્યુના પાર્કિંગમાં જવાનો ગેટ બંધ કર્યો, પોલીસના કહેવા છતાં પણ દરવાજો ન ખોલાયો

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા હરી દર્શન ચાર રસ્તા પાસે શેલબી હોસ્પિટલની સામે આશીર્વાદ એવન્યુ નામનું કોમર્શિયલ કમ રેસીડેન્સી બિલ્ડિંગ આવેલું છે. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જે સ્પા ચલાવવામાં આવે છે તેમાં અનૈતિક કામો(ગોરખધંધો) થાય છે મોડી રાત સુધી દુકાનો ચાલુ રહેતી હોય છે અને ત્યાં અસામાજિક તત્વો બેસેલા હોય છે જેના કારણે થઈને સોસાયટીના રહીશોને અવરજવરમાં ડર લાગે છે. નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે થોડા સમય માટે પોલીસ આવી અને જતી રહે છે. સોસાયટીનો બેઝમેન્ટ પાર્કિંગમાં જવાનો રસ્તો પણ કોમર્શિયલ દુકાનવાળા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. સ્પાની આડમાં ગોરખધંધો અને પાર્કિંગ જવાને રસ્તે દબાણઅમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં હરી દર્શન ચાર રસ્તા પાસે શેલ્બી હોસ્પિટલની સામે આશીર્વાદ એવન્યુ નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ કમ રેસીડેન્ટ બિલ્ડિંગ આવેલું છે આશીર્વાદ એવન્યુમાં અંદાજે 308 જેટલા મકાનો આવેલા છે જેમાં 1000થી વધારે લોકો રહે છે. આશીર્વાદ એવન્યુના કોમ્પ્લેક્સમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 10થી 15 જેટલા સ્પા ચાલે છે. જેમાં અનેક અનૈતિક કામો થાય છે સ્પા નહીં પરંતુ કુટણખાના છે. જેના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે આ બાબતે સ્થાનિક નરોડા પોલીસ સ્ટેશનને અવારનવાર જાણ કરવા છતાં પોલીસ આવી અને જતી રહે છે. સ્થાનિક પોલીસ દ્વારા સ્પાની સામે ફરિયાદ કરવાની જગ્યાએ સોસાયટીના લોકો સામે ફરિયાદ કરવા લઈ જાય છે. આશીર્વાદ એવન્યુમાં બંને ગેટ બંધ કરતાં સ્થાનિકોનો હોબાળોસ્થાનિક કેટલાક લોકો દ્વારા તો જણાવવામાં આવ્યું હતું કે, આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ અહીંયા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. તરફ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોમ્પ્લેક્સ આવેલા છે તેમાં પાર્કિંગ માટેની જગ્યા હોવી જોઈએ અને જો પાર્કિંગની વ્યવસ્થા હોય તો તે જગ્યા ખુલ્લી રાખવી તે બાબતે જાણ કરવામાં આવે છે તેમ છતાં પણ આશીર્વાદ એવન્યુમાં બંને ગેટ બંધ કરવામાં આવ્યા છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જે પાર્કિંગની જગ્યા છે ત્યાં કોઈ દબાણ ન હોવું જોઈએ છતાં પણ આ જગ્યા ઉપર કેટલાક ખાણીપીણીના સ્ટોલ પણ મૂકવામાં આવે છે. લોકોના ટોળા ભેગા થઈ ગયા અને પોલીસ બોલાવાઈ હતીનરોડા પોલીસ સ્ટેશનમાં સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર સ્પા બાબતે અને હેરાનગતિ બાબતે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ આ બાબતે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસ પણ બોલાવાઈ હતી છતાં પણ આ ફરિયાદોનું નિવારણ થયું નથી. જો સ્થાનિક પોલીસ દ્વારા લેખિતમાં આવી ફરિયાદ કરવામાં આવી રહી છે અને લોકો દ્વારા જાણ પણ કરવામાં આવે છે છતાં પણ કેમ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે કાર્યવાહી કરતી નથી. 'કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ખૂબ જ અનૈતિક કામો થાય છે'આશીર્વાદ એવન્યુ સોસાયટીના રહેવાસી કાજલબેને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીનો જે ગેટ છે ત્યાં કોમર્શિયલ ચાની દુકાનવાળા દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે. અમારી પાસે સોસાયટીનો ગેટ હોવા અંગેનું લખાણ છે અને કાયદેસરની અમારી જગ્યા હોવા છતાં પણ તેઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી તો પોલીસ આવી હતી ચાવી પણ લીધી હતી પરંતુ પોલીસ દ્વારા કહેવા છતાં પણ દરવાજો ખોલવામાં આવ્યો નહોતો. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ખૂબ જ અનૈતિક કામો થાય છે અને રાત્રે આવા જવામાં મહિલાઓને ખૂબ જ તકલીફો પડી રહી છે. 'અમને અવરજવરમાં ખૂબ જ બીક લાગે છે'વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોડી રાત સુધી અને ક્યારેક તો આખી રાત ચા ની દુકાનો સહિતની દુકાનો ખુલ્લી હોય છે. જાણે રાત્રે બજાર હોય તેવું સોસાયટીમાં બની ગયું છે અમને અવરજવરમાં ખૂબ જ બીક લાગે છે. પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે અહીંયા ચા નાસ્તો મળે છે તમે અમને થોડી ચા નાસ્તો કરાવો છો એમ કહી દીધું હતું. 'સોસાયટીનો કોમનગેટ છતાં ગેટ બંધ કરી દેવામાં આવ્યો 'સોસાયટીના ચેરમેન દર્શનભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીનો કોમનગેટ હોવા છતાં પણ અમને આવવા નથી દેતા અને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સની બાજુમાં બંને તરફનો ગેટ બંધ છે. બંને તરફ દબાણ કરી દેવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં પણ આ બાબતે અમારા સમાધાન થયું હતું લોકો રોડ ઉપર વાહન પાર્ક કરી દે છે. આ બાબતે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી. પોલીસ સ્ટેશનમાં અવારનવાર ફરિયાદો કરી છતાં કોઈએ કાર્યવાહી થતી નથી. પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી છે કોર્પોરેશનમાં ટેલીફોનિક રજૂઆત કરી છે સ્થાનિક લોકો દ્વારા પણ રજૂઆત કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. Dymcએ એસ્ટેટ વિભાગને જાણ કરી છેઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા કે બેઝમેન્ટમાં જવાના રસ્તાઓ પણ દબાણ કરવામાં આવ્યું હોય તો તાત્કાલિક ધોરણે આ મામલે એસ્ટેટ વિભાગને જાણ કરી છે અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 'હું તપાસ કરાવી લઉં છું'-સ્થાનિક કોર્પોરેટરનરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલે જણાવ્યું હતું કે આ બાબતે મને રજૂઆત હજી સુધી મળી નથી છતાં પણ આ બાબતે હું તપાસ કરાવી લઉં છું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 2:50 pm

આવતીકાલની ઇલેક્ટ્રીકલ આસિ.ની ભરતીમાં કૌભાંડની સંભાવના:જૂનાગઢમાં યુનિયનના કાર્યક્રમમાં રૂ.2 કરોડનો તાયફો કરવાની જગ્યાએ જેટકો-PGVCLની ભરતીની તપાસ કરોઃ યુવરાજસિંહ

જેટકો અને પીજીવીસીએલની ભરતીમાં થયેલા કૌભાંડની તપાસ કરવાની રાજકોટ આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ માંગણી કરી હતી. જેમાં જામનગરમાં એપ્રેન્ટિશિપ લાઈનમેનની 120 જગ્યા પર ભરતીમાં 35 ખોટા ઉમેદવારો હતા, જે બદલી નવા લેવાયા. આ ઉપરાંત ગોંડલ, જૂનાગઢ અને કચ્છમાં કૌભાંડ થયુ, પરંતુ તપાસ નથી થઈ. આ સાથે જેટકો પ્લાન્ટ એટેન્ડેન્ટની 157 પોસ્ટનું સેટઅપ ન હોવા છતાં ભરતી કરવામાં આવી. જે બાદ વિરોધ થતા ભરતી રદ કરવામાં આવી. આ ઉપરાંત PGVCLમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની 1182 જગ્યા માટે ભરતી હતી, જેમાં પોલ ટેસ્ટમાં લાગવગ થઈ હોવાનું કૌભાંડ બહાર લઈ આવતા બધા ઉમેદવારોનું રિ પોલ ટેસ્ટ કરવામાં આવ્યું. 28મી ડિસેમ્બરના રવિવારે PGVCLની ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી છે, ત્યારે બીજી તરફ ખાનગી જીઇબી એન્જિનિયર્સ એસોસિએશનનું 27મુ ત્રિવાર્ષિક અધિવેશન મળવા જઈ રહ્યુ છે, જેમાં મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રી સહિતના ઉપસ્થિત રહેવાના છે. તેમાં અંદાજે રૂ.2 કરોડનો તાયફો થશે તેવા આક્ષેપ સાથે ભરતી કૌભાંડોની તપાસ કરવાની માગ કરી હતી. 35 ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરાઈઃ યુવરાજસિંહયુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, જેટકો અને PGVCL કૌભાંડો માટે જાણીતી છે. જેટકો જામનગર એપ્રેન્ટિશિપ લાઈનમેનની 120 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં 35 ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરવામાં આવી હતી. રૂ.2 લાખનો વહીવટ થયાની માહિતી છે. જે બાદ વિરોધ કરવામાં આવતા નવા 35 ઉમેદવારોને ચાર મહિના બાદ લેવામાં આવ્યા. જેમાં સિનિયર ક્લાર્ક પી. સી. પટેલની સસ્પેન્ડ કરીને ખંભાળિયા બદલી કરી સંતોષ માની લેવામાં આવ્યો. ડમી ઉમેદવારોએ પરીક્ષા આપ્યાનો આક્ષેપજ્યારે જૂનાગઢ, ગોંડલ અને કચ્છમાં એપ્રેન્ટિશિપ લાઈનમેનની ભરતીમાં પણ કૌભાંડ થયુ છે, તેમ છતાં પણ તેમાં તપાસ કરવામાં આવી નથી. તો તેમાં તપાસ કરવામાં આવે તો અનેક ડમી ઉમેદવારો પરીક્ષા આપતા હોવાનું સામે આવે. આ ઉપરાંત જેટકો પ્લાન્ટ એટેન્ડેન્ટ 157 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી, પરંતુ સ્ટાફ સેટઅપ નહોતું, જેથી અમારા દ્વારા વિરોધ કરવામાં આવતા તે ભરતી રદ કરવામાં આવી. આ પરીક્ષા આપતા 11,200 ઉમેદવારો હેરાન થયા. આ ઉપરાંત PGVCLમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની 1182 જગ્યા પર ભરતી થઈ હતી. જોકે અમે વિરોધ કરતા તમામ ઉમેદવારો પાસે રિ પોલ ટેસ્ટ લેવામાં આવી. તાયફાઓને બદલે પારદર્શક ભરતી કરવા માગએક આવતીકાલે ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી છે, જેમાં પણ કૌભાંડ થવાનું છે તેવી માહિતી છે. જેથી જેટકો અને પીજીવીસીએલ દ્વારા તાયફાઓને બદલે પારદર્શક રીતે ભરતી કરવામાં આવે અને ભરતી કૌભાંડોની તપાસ કરવામાં આવે તેવી માંગણી છે. આ બાબતે આગામી સમયમાં ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 2:43 pm

બહુચરાજી રેલવે સ્ટેશન પાસે માનવતાને લાંછન લગાડતી ઘટના:કોમ્પ્લેક્સની સાઇટ પરથી મૃત નવજાત શિશુ મળી આવ્યું, અજાણી મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં માનવતાને લાંછન લગાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બહુચરાજી રેલવે સ્ટેશન નજીક આવેલા પ્રહલાદ કોમ્પલેક્ષ પાસેથી એક નવજાત મૃત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ મૃત હાલતમાં પડેલા શિશુને જોતા પોલીસને જાણ કરીમળતી માહિતી પ્રમાણે કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ અથવા જન્મ છુપાવવાના ઈરાદે આ તાજા જન્મેલા શિશુને ત્યજી દેવામાં આવ્યું હતું. સ્થાનિકોએ મૃત હાલતમાં પડેલા શિશુને જોતા તુરંત પોલીસને જાણ કરી હતી. આ મામલે બહુચરાજી પોલીસ મથકે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે સ્ટેશન તરફની સંડાસ-બાથરૂમની દીવાલ તરફ મૃત નવજાત શિશુ હતુબેચરાજી રેલવે સ્ટેશન પાસે ચાલુ કોમ્પ્લેક્સની સાઇટ પરથી એક મૃત નવજાત શિશુનો પાર્થિવ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ફરિયાદી હાર્દિક કુમારે બેચરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની કોમ્પ્લેક્સની સાઇટ પર કડિયા કામ કરતા મજૂર દિનેશ વસુનિયાને રેલવે સ્ટેશન તરફની સંડાસ-બાથરૂમની દીવાલની અંદરના ભાગે ત્યજી દીધેલું મૃત નવજાત શિશુ પડેલું જોવા મળ્યું હતું. પોલીસે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીઆ બાબતની જાણ થતાં ફરિયાદી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તુરંત બેચરાજી પોલીસને ફોન કર્યો હતો. પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આસપાસ તપાસ કરી હતી. ત્યારબાદ મૃત શિશુના પાર્થિવને ટોકરમાં મૂકીને બેચરાજી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. સમગ્ર કેસમાં નવજાત મૃત શિશુને અહીં કોણે ત્યજી દીધું તેની વિગતો મળી ન આવતાં પોલીસે અજાણી મહિલા કે તેના વાલી-વારસદાર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 2:35 pm

ભાવનગરમાં ગેરકાયદે પાણી કનેક્શન લેનારા પર તવાઈ:1 માસમાં 1500થી વધુ નળ કનેક્શન ચેક, 40 ગેરકાયદેસર ઝડપાયા; ઝોન પ્રમાણે ચેકિંગ હાથ ધરાશે

ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન લીધા હોય અથવા તો એકથી વધુ કનેક્શન લીધા હોવાનું મહાનગરપાલિકાના ધ્યાને આવ્યું હતું. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા 1 ડિસેમ્બરથી ટાઈમ કીપર અને કી મેનની 87 લોકોની ટીમ દ્વારા શહેરના 11 ઝોનમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એક 1 મહિનામાં 1500 પાણી કનેક્શન ચેકિંગ કરવામાં આવ્યાં જેમાં 40 જેટલા ગેરકાયદેસર કનેક્શન ઝડપાયા છે. આગામી દિવસોમાં પાણી કનેક્શન અંગે ચેકિંગ ઝુંબેશ શરૂ રહેશે. દરેક ઝોનમાં તબક્કાવાર ચેકિંગ: એફ. એમ. શાહઆ અંગે મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક એફ. એમ. શાહએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા તાજેતરમાં એક ડિસેમ્બરથી શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કા વાર પાણી કનેક્શનોની ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવામાં આવતું હોવા છતાં મળતી ફરિયાદોનું નિરાકરણ લાવવાનો છે. ‘પાણી કનેક્શન ચેકિંગ ઝૂંબેશ હજુ શરૂ રહેશે’આજ દિવસ સુધીમાં 1500થી વધુ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 40થી વધુ ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા છે. આ કામગીરી હજુ આગામી એકથી દોઢ મહિના સુધી શરૂ રહે તેવી અમારી તૈયારી છે. શહેરના વોટર વર્કસ વિભાગના 11 ઝોન છે. 11 ઝોનમાં તેના ઝોન સુપરવાઇઝરના દેખરેખ નીચે તમામ ફિલ્ડ સ્ટાફ છે તેના દ્વારા આ દૈનિક કામગીરી કરવામાં આવી રહી છે. ‘પેનલ્ટી ભરી કનેક્શનને કાયદેસર કરવા લોકોને અપીલ’વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે, મહાનગરપાલિકા દ્વારા અડધા ઇચના રહેણાકીય કનેક્શન કે અડધા ઇંચના બીન રહેણાકીય કનેક્શન એટલે કે કોમર્શિયલ કનેક્શન, કે જે વગર મંજૂરીએ લેવામાં આવેલા હોય તો તેને રેગ્યુલાઇઝ કરવા માટેની એક પેનલ્ટી પણ નક્કી કરેલી છે. તો કોઈ આસામી દ્વારા વગર મંજૂરીએ આવું અડધું ઇંચનું કનેક્શન મહાનગરપાલિકાની જાણ બહાર લીધું હોય તો તેઓ સામેથી મહાનગરપાલિકાના વોટર વર્ક્સનો સંપર્ક કરી પોતે આ નિયત થયેલી પેનલ્ટી ભરી તે કનેક્શનને કાયદેસર કરાવી શકે છે, જેથી કરીને તેઓના કનેક્શન કટ ન થાય. ‘મોટા કનેક્શન લેનારા સ્વેચ્છાએ કનેક્શન કટ કરી લે’પાણી કનેક્શન કટ થયા બાદ તેઓને પાણી ન મળે તેવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત જો કોઈ મોટા કનેક્શન કોઈએ લીધા હોય તો તેઓ પોતાની સ્વેચ્છાએ કનેક્શન કટ કરી લે. અથવા તો મહાનગરપાલિકા દ્વારા જ્યારે આ ધ્યાનમાં આવશે તો તેઓ દ્વારા પેનલ્ટી સાથે તેને વસૂલ કરવામાં આવશે અને તેનું કનેક્શન આપવામાં પણ આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:58 pm

મહાશિવરાત્રી મેળો તૈયારીને લઈ તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ:મહાશિવરાત્રી મેળાના આયોજન માટે તંત્ર એક્શનમાં: ભવનાથમાં દબાણો દૂર કરી રસ્તા પહોળા કરાશે, સંયુક્ત ટીમે સ્થળ પર જઈ હાથ ધર્યું નિરીક્ષણ.

જૂનાગઢના પવિત્ર ગિરનારની તળેટીમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારા મિની કુંભ ગણાતા 'મહાશિવરાત્રી મેળા'ને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સૂચના અને જૂનાગઢ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં મેળાના સ્થળની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવિકોના સંભવિત ધસારાને ધ્યાને લઈ આયોજન ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે. ચાલુ વર્ષે કૌમોસમી વરસાદ અને માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી, જેના પરિણામે આગામી મહાશિવરાત્રી મેળામાં ભાવિકોનો ઘસારો અન્ય વર્ષો કરતા ઘણો વધારે રહેવાની શક્યતા સેવાઈ રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા ભાવિકોની સુખ-સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિરીક્ષણ હાથ ધરાયું હતું. સાંકડા રસ્તાઓ પહોળા કરાશે અને દબાણો દૂર થશે આ મુલાકાત અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળેલી રજૂઆતો અને ભવિષ્યમાં સર્જાનારી ભીડને ધ્યાને લઈ ભવનાથના અલગ-અલગ વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભરડાવાવ નજીકનો રસ્તો અત્યંત સાંકડો છે, જ્યાં મેળા દરમિયાન ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી રસ્તો પહોળો કરવામાં આવશે જેથી ભાવિકોની અવરજવર સરળ બને. દબાણ હટાવ ઝુંબેશ તેજ બનશે. વહીવટી તંત્ર દ્વારા મજેવડી ગેટથી લઈ ગિરનાર દરવાજા સુધીના તમામ વિસ્તારોમાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. અગાઉ અહીંથી અનેક દબાણો દૂર કરાયા હતા, પરંતુ જો ફરીથી કોઈ ગેરકાયદે દબાણો જોવા મળશે તો તેને વહેલી તકે દૂર કરવામાં આવશે. ટ્રાફિકને અડચણરૂપ બનતા કોઈપણ દબાણને સાંખી લેવામાં આવશે નહીં. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે અને મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:55 pm

પાટણમાં 10 વિકાસકામો માટે 25.30 કરોડના ઈ-ટેન્ડર જાહેર:શહેરમાં ટાઉનહોલ, ડામર રોડ અને ડ્રેનેજ સહિતના કામો માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ

પાટણ નગરપાલિકાએ શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે 25.30 કરોડથી વધુના ખર્ચના 10 વિવિધ કામો માટે ઈ-ટેન્ડરિંગ નોટિસ પ્રસિદ્ધ કરી છે. આ કામોમાં અદ્યતન ટાઉનહોલનું નિર્માણ, વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, ડામર રોડ અને વરસાદી પાઈપલાઈન નાખવાની કામગીરીનો સમાવેશ થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વિવિધ ગ્રાન્ટ હેઠળ મંગાવવામાં આવેલા આ ટેન્ડરમાં સૌથી મોટું કામ પાટણ શહેરના સર્વે નંબર 170 માં 14.99 કરોડના અંદાજિત ખર્ચે ટાઉનહોલ (ઓડિટોરિયમ) બનાવવાનું છે. આ ઉપરાંત, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ શહેરના 29 વિસ્તારોમાં 2.22 કરોડના ખર્ચે સીસી રોડ, બ્લોક પેવિંગ અને જીમખાના ખાતે પેવર બ્લોક, સ્ટેજ તથા ટોયલેટ બ્લોક બનાવવાનું આયોજન કરાયું છે. અન્ય એક કામમાં 1.89 કરોડના ખર્ચે શહેરના 32 વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક અને સ્ટોર્મ વોટર લાઈન નાખવામાં આવશે. રસ્તાઓના નવીનીકરણ માટે પાલિકા દ્વારા મોટા પાયે આયોજન હાથ ધરાયું છે, જેમાં 2.60 કરોડના ખર્ચે આઉટગ્રોથ એરિયાના 06 વિસ્તારોમાં ડામર રોડ અને 1.64 કરોડના ખર્ચે 09 વિસ્તારોમાં મેટલિંગ કરી પેવરથી ડામર રોડ બનાવવામાં આવશે. પીતાંબર તળાવ પાસેના રેલ્વે નાળાથી પી.ટી.સી. કોલેજ થઈ સરસ્વતી નદીના બ્રિજ સુધીના ડામર રોડને ₹83.07 લાખના ખર્ચે રીસરફેસિંગ કરાશે. શહેરના જુદા જુદા 07 વિસ્તારોમાં પેવરથી ડામર રોડ કરવા માટે 1.54 કરોડ અને 03 વિસ્તારોમાં ડામર રોડ માટે 37.59 લાખની જોગવાઈ કરાઈ છે. આ સિવાય, માખણીયાપરા ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં ટોયલેટ અને સિક્યુરિટી રૂમ બનાવવા ₹21.22 લાખ તથા શહેરના વિસ્તારોમાં વરસાદી પાઈપલાઈન નાખવા ₹89.43 લાખ ખર્ચવામાં આવશે. આ તમામ વિકાસકામો માટે ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, 2026 રહેશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:53 pm

સેલવાસની શાળા બહાર વિદ્યાર્થિનીઓ વચ્ચે મારામારી, VIDEO:શિક્ષિકાએ રોકવાનો પ્રયાસ કર્યો છતાં છુટ્ટા હાથની મારામારી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સંઘ પ્રદેશ સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલી એક શાળાની બહાર વિદ્યાર્થિનીઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના શાળા પરિસરની બહાર બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલીક વિદ્યાર્થીનીઓ એકબીજા સાથે મારામારી કરી રહી છે. 'દિવ્ય ભાસ્કર' વીડિયોની પુષ્ટિ નથી કરતું આ દરમિયાન એક શિક્ષિકા તેમને રોકવાનો પ્રયાસ કરતી પણ નજરે પડે છે. જોકે, 'દિવ્ય ભાસ્કર' આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ પ્રકારના વીડિયો અગાઉ પણ વાયરલ થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા સંઘ પ્રદેશના શિક્ષણ વિભાગ પાસે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:43 pm

'હેલ્મેટ ન પહેરનારને ફાઈન નહીં ફૂલ આપો':સુરતમાં ડેપ્યુટી CM સંઘવીએ 'અશ્વિનીકુમાર' પોલીસ સ્ટેશનના ઉદ્ધાટન કાર્યક્રમમાં જીવ બચાવવાની આપી શીખ

સુરતના તાપી કિનારે આજે માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા 'અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન'નું ઉદ્ઘાટન કરતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક અલગ જ મિજાજમાં જોવા મળ્યા હતા. પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ મુદ્દે અત્યંત ગંભીર અને કટાક્ષમય નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસને જનતાના ખિસ્સા ખાલી કરવામાં રસ નથી પરંતુ, જનતાના જીવ બચાવવા તે તેમની પ્રાથમિકતા છે. તેઓએ કહ્યું હતું કે, લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને દંડ કરવાની જગ્યાએ 'ફૂલ' આપીને સન્માનિત કરો અને તેમને સમજાવો. 52 લાખનું બોક્સ અને હર્ષ સંઘવીનું હાસ્યકાર્યક્રમનો સૌથી ચર્ચિત કિસ્સો ત્યારે બન્યો જ્યારે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ એક છેતરપિંડીના ભોગ બનેલા વેપારીને 52 લાખ રૂપિયાની રોકડ પરત કરવામાં આવી. નવાઈની વાત એ હતી કે, જ્યારે આ રોકડ ભરેલું બોક્સ વેપારીને સોંપવામાં આવ્યું ત્યારે તેઓ તેનું વજન ખમી ન શક્યા અને બોક્સ ઊંચકી ન શકતા હર્ષ સંઘવી ખડખડાટ હસી પડ્યા હતા. સંઘવીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, જે મહેનતની કમાણી લૂંટાઈ હતી, એ જ નોટો આજે સહી-સલામત વેપારીના હાથમાં છે. કરોડોના હીરા અને રોકડ પરત મળતા અનેક વેપારીઓની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. યાદ રાખજો અશ્વિનીકુમારની ભૂમિમાં બીજું શું આવેલું છે?હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશન અંગે કહ્યું હતું કે, પહેલી નજરે આરોપી પણ એવું કહેશે કે મને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ, પણ યાદ રાખજો કે આ અશ્વિનીકુમારની ભૂમિમાં બીજું શું આવેલું છે! સ્મશાનના આડકતરા ઉલ્લેખથી તેમણે ગુનેગારોને સીધો સંદેશ આપ્યો કે સુરતના વેપારીઓને પરેશાન કરનારને છોડવામાં નહીં આવે. હેલ્મેટ મુદ્દે રાજકારણ ખેલનારાઓને આડે હાથ લીધાહેલ્મેટ પહેરવા બાબતે સોશિયલ મીડિયા પર જ્ઞાન વહેંચતા'ઇન્ફ્લુએન્સર'અને રાજકારણીઓને હર્ષ સંઘવીએ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, અકસ્માતમાં 90 ટકા મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે. મારે કોઈના દંડની જરૂર નથી, જે હેલ્મેટ ન પહેરે તેને ફૂલ આપીને સમજાવો. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ મુદ્દે રાજકારણ ખેલનારાઓએ યાદ રાખવું જોઈએ કે આ જીવ બચાવવાની વાત છે. નવું પોલીસ સ્ટેશન અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું ગૃહરાજ્યમંત્રીએ સુરત પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે, વેપારી સાથે છેતરપિંડી કરનાર ગમે ત્યાં છુપાયો હોય, તેને શોધી કાઢો. તેમણે કહ્યું, મેં પોલીસને કહ્યું છે કે ચીટિંગ કરનાર ભલે પશ્ચિમ બંગાળમાં હોય કે જમ્મુ-કાશ્મીરમાં, તેને નોટિસ મોકલો અને અહીં ખેંચી લાવો. મારા રાજ્યના લોકોને પરેશાન કરશો તો હું કડક થઈશ જ, પછી ભલે કોઈના પેટમાં દુખે! સરદાર પટેલની લોખંડી પ્રતિમા અને તાપી મૈયાના દર્શન સાથેનું આ નવું પોલીસ સ્ટેશન હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે રક્ષક અને અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:33 pm

પટેલ પરિવારનો એકનો એક દીકરો મ્યાનમારમાં ફસાયો:ઊંચા પગારની નોકરીની લાલચમાં સાયબર રેકેટનો ભોગ બન્યો; પિતાએ કહ્યું- 'દીકરાને વહેલી તકે પાછો લાવો એવી પ્રાર્થના'

નવસારીનો એક યુવક વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં મ્યાનમારમાં ફસાયો છે. પ્રિન્સ રમેશભાઈ પટેલ નામના આ યુવક સહિત કુલ દસ ભારતીય યુવાનો સાયબર ક્રાઈમ રેકેટ અથવા છેતરપિંડી નેટવર્કમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. એજન્ટે ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીપ્રિન્સ પટેલે છ મહિના પહેલા ઓનલાઈન અરજી કરી હતી અને પરીક્ષા આપ્યા બાદ નોકરી માટે વિદેશ ગયો હતો. તેને એક એજન્ટ દ્વારા ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપવામાં આવી હતી. મ્યાનમાર પહોંચ્યા બાદ તેને આ છેતરપિંડીનો અહેસાસ થયો હતો. એકમાત્ર સંતાન હોવાથી પરિવાર ચિંતિતહાલમાં આ તમામ યુવાનો મ્યાનમારના વાડી વિસ્તારમાં એક સ્થાનિક એનજીઓ દ્વારા સંચાલિત સેફ હાઉસમાં આશ્રય લઈ રહ્યા છે. પ્રિન્સ પટેલ માતા-પિતાનો એકમાત્ર સંતાન હોવાથી પરિવાર ચિંતિત છે. પરિવારે નવસારી જિલ્લા વહીવટી તંત્રને આ અંગે જાણ કરી છે અને તેમના દીકરાને વહેલી તકે ઘરે પરત લાવવા માટે માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:32 pm

ભરૂચમાં AAPનો પોલીસ પર દારૂ વેચાણ મુદ્દે આક્ષેપ:જિલ્લા પ્રમુખે રાજકીય દબાણ હેઠળ કામગીરીનો દાવો કર્યો

ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોલીસની કામગીરી અને ખુલ્લેઆમ દારૂ વેચાણ મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ભોલાવ સર્કિટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી. પિયુષ પટેલે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. આના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવતો નથી અને કાયદાનું પાલન યોગ્ય રીતે થતું નથી. પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવાયું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં એક કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઝઘડિયા તાલુકાની નાઈટ્રિક્સ કેમિકલ કંપનીના કામદારોને તેમના હક્કોની માંગણી દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ઘટનાની પણ આમ આદમી પાર્ટીએ કડક શબ્દોમાં નિંદા કરી હતી. આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.ખોટી રીતે હેરાન કરનાર પોલીસ અધિકારીઓ સામે તપાસ થાય અને નાઈટ્રિક્સ કેમિકલના કામદારોને ન્યાય અપાવવામાં આવે. પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો લોકશાહી રીતે આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:28 pm

માણસાના ખડાતમાં LCBનો દરોડો:છાપરામાં લાકડા અને ઘઉંના ભુસા નીચે સંતાડેલો દારૂ જપ્ત, બે બૂટલેગર ફરાર

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખડાત ગામે દરોડો પાડ્યો હતો. એક રહેણાંક મકાનની બાજુમાં આવેલા છાપરામાંથી લાકડા અને ઘઉંના ભુસા નીચે સંતાડેલી 2 લાખ 47 હજારની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની દારૂની 888 નંગ બોટલો જપ્ત કરી ફરાર બે બૂટલેગરો વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન દારૂની બાતમી મળીગાંધીનગરમાં ન્યૂ યરની ઉજવણી દરમ્યાન દારૂની રેલમછેલ રોકવા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે એલસીબી પીઆઇ એચ.પી.પરમારની ટીમ માણસા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, ખડાત ગામના ભારથરવાસમાં રહેતા શૈલેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ અને મહેશસિંહ ઉર્ફે માલુભા નાથુસિંહ રાઠોડ પોતાના ઘરની બાજુમાં આવેલા કાચા છાપરામાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે. રેડમાં 21 પેટી દારૂ મળ્યોઆ બાતમીના આધારે એલસીબીએ ઉપરોક્ત સ્થળે પોલીસે ઓચિંતી રેઇડ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન છાપરામાં લાકડાના ઢગલા પાછળ અને ઘઉંના ભુસાના પાર્સલો નીચે સિફતપૂર્વક સંતાડવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 21 પેટીઓ (888 નંગ બોટલ) મળી આવી હતી. બન્ને બુટલેગરની પોલીસે શોધખોળ શરૂ કરીજોકે પોલીસ રેઇડ દરમિયાન બંને બૂટલેગરો શૈલેન્દ્રસિંહ અને મહેશસિંહ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે રૂ .2.47 લાખનો દારૂનો તમામ મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:20 pm

ડોક્ટર પતિ નર્સ પર શંકા કરી ત્રાસ આપતો:લગ્નના બે મહિનામાં જ વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ, સાસરિયાએ મહિલા પર તાંત્રિક વિધિઓ પણ કરાવી

સરકારી નોકરીમાં ફરજ બજાવતી 30 વર્ષીય નર્સના સામાજિક રીતે ખાનગી ડોકટર સાથે લગ્ન થયા હતા. લગ્નને માત્ર બે મહિનામાં જ બંને વચ્ચે મનમેળ ન થતા ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શરૂઆતમાં મતભેદ તરીકે દેખાતો વિવાદ બાદમાં માનસિક, આર્થિક અને શારીરિક ત્રાસમાં પરિવર્તિત થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પતિ નોકરી છોડી દેવા દબાણ કરતોપત્ની સરકારી નોકરી કરતી હોવાના કારણે પતિમાં ઈર્ષાની ભાવના પેદા થઈ હોવાનું મહિલાએ જણાવ્યું હતું. પતિ દ્વારા પત્ની પર તેનો પગાર ઘરમાં જ વાપરવા તેમજ નોકરી છોડી દેવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. આ સાથે પતિ ડૉક્ટરીમાં ઉચ્ચ ડીગ્રી મેળવવા પ્રયાસ કરી પોતે તેની પત્ની કરતા વધુ મહત્વનો હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરતો હતો. સાસરિયાએ મહિલા પર તાંત્રિક વિધિઓ કરાવીઘરમાં શાંતિના બદલે સાસરિયાઓ દ્વારા અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતાં ભુવા બોલાવી તાંત્રિક વિધિઓ કરાવવામાં આવી હતી, જેના કારણે મહિલાની માનસિક સ્થિતિ વધુ બગડી હતી. પતિ દ્વારા વારંવાર મારપીટ કરી ત્રાસ આપવામાં આવતો હતો. પતિ-પત્ની વચ્ચે ના ઝઘડામાં સાસરિયાઓ પણ ખુલ્લેઆમ પતિનો પક્ષ લેતા હોવાનું રજૂઆતમાં બહાર આવ્યું હતું. પતિ મહિલાને એકલી મૂકી ઘર છોડીને જતો રહ્યોપરિસ્થિતિ અસહ્ય બનતા મહિલાએ પોતાની સરકારી નોકરીને કારણે મળેલી સરકારી વસાહતમાં રહેવાનું શરૂ કર્યું હતું. જોકે ત્યાં પણ પતિ દ્વારા રાત્રી ડ્યુટી અંગે તેના પર શંકા રાખી સતત ટોર્ચર કરવામાં આવતું હતું. અંતે પતિ મહિલાને એકલી મૂકી ઘર છોડીને જતો રહ્યો હતો. પતિ દ્વારા ત્યાગ કરવામાં આવતા મહિલા પિયરમાં રહેવા મજબૂર બની હતી. આ દરમિયાન સમાચાર માધ્યમ મારફતે મહિલા સહાયતા કેન્દ્રની માહિતી મળતા તેણે ત્યાં રજૂઆત કરી હતી. સહાયતા કેન્દ્ર દ્વારા પતિને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે પત્ની પર પગાર પિયરમાં આપી દેવાનો તેમજ ઘરકામ ન કરતી હોવાના પ્રતિઆક્ષેપો કર્યા હતા. બંને પક્ષો વચ્ચે શરતોને આધીન સમાધાનપતિ પત્નીને મળવા પણ તૈયાર ન હતો અને સીધો છૂટાછેડાની માગણી કરતો હતો. જોકે મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલરના સતત કાઉન્સેલિંગ કરી સમજાવટના પ્રયાસો બાદ બંને પક્ષો વચ્ચે શરતોને આધીન સમાધાન થયું હતું અને અંતે પતિ-પત્ની ફરી સાથે રહેવા સંમત થયા હતા. આ ઘટના સમાજમાં સરકારી નોકરી કરતી મહિલાઓ સામે થતી ઈર્ષા, અસમાનતા, અંધશ્રદ્ધા અને ઘરેલુ હિંસા સામાજિક જીવન ચિંતા જનક રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:08 pm

રાજકોટના 164ને હાર્ટ, 43ને કિડની અને 31 ભૂલકાઓને કેન્સરની બીમારી:90થી વધુ આંગણવાડી-સ્કૂલના 2.90 લાખના હેલ્થ ચેકઅપમાં ખુલાસો, 1 એપ્રિલ-23 ડિસેમ્બર સુધીના આંકડા

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત 90થી વધુ આંગણવાડી અને સ્કૂલના 2.90 લાખથી વધુ બાળકોના હેલ્થનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોગ્ય વિભાગના પ્રાથમિક ચેકઅપ દરમિયાન રાજકોટના 164 ભુલકાઓને હાર્ટ, 43ને કિડની, 6ને લીવર અને 31ને કેન્સરની બીમારી હોવાની વિગતો બહાર આવી છે. તમામ શંકાસ્પદ દર્દીને સારવાર અર્થે રાજકોટ અને વધુ જરૂર જણાય તો અમદાવાદ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મનપાના આરોગ્ય વિભાગની આ કામગીરી 1 એપ્રિલ 2025થી 23 ડિસેમ્બર 2025 સુધીના આંકડા છે. આંગણવાડીમાં બાળકોના હેલ્થ ચેકઅપ કામગીરી કરવામાં આવીરાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે એટલે કે 1 એપ્રિલ 2025થી 23 ડિસેમ્બર 2025 સુધી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા 90 જેટલી આંગણવાડીમાં બાળકોના હેલ્થ ચેકઅપ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 270થી વધુ બાળકોના સ્વાસ્થ્યમાં શંકાસ્પદ રીતે જુદી જુદી બીમારીઓ જોવા મળી છે. આ પ્રાથમિક રિપોર્ટ બાદ તેમને ફર્ધર ટ્રીટમેન્ટ માટે રાજકોટની તેમજ વધુ જરૂર જણાય તો અમદાવદ હોસ્પિટલ સારવાર માટે સુવિધા આપવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુની સંખ્યામાં ખૂબ જ વધારો થઇ રહ્યો છે. તેવામાં બાળકોના હેલ્થ ચેકઅપ દરમિયાન પણ સામે આવેલી વિગતો પણ ચિંતાજનક સાબિત થઇ રહી છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને જંકફૂડ જેવા ખોરાકથી દૂર રાખવા અને પૌષિટક આહાર આપવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:03 pm

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં:આઈકોનિક SG હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે; વિશ્વ ઉમિયા ધામના યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે

આવતીકાલે એટલે કે, 28 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદમાં સવારે IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી આપશે. બપોરના આઈકોનિક SG હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મડાસંમેલન-2025નો ઉદઘાટન કરી અને છેલ્લે સંસ્કાર ધામ અમદાવાદ આયોજિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં હાજર રહેશે. દિવસભર અમદાવાદમાં સાત અલગ-અલગ કાર્યક્રોમોમાં હાજર રહેશે. વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં CM સહિતના પાટીદારો ઉપસ્થિત રહેશેવિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર યુવા બિઝનેસ મહાસંમેલનને લઈ તડામર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત ભરમાંથી અંદાજે 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં ભાગ લેશે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પણ પાટીદાર બિઝનેસમેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે. ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શનયુવા ઉદ્યોગકારોને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે આ મહાસંમેલન મહત્વપૂર્ણ બની રહેશે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મહાસંમેલન દરમિયાન ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. વિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર આ યુવા બિઝનેસ મહાસંમેલન ગુજરાતના યુવા ઉદ્યોગકારો માટે નવી દિશા અને નવી તકો લઈને આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:46 pm

વાવોલની સરકારી શાળાના આચાર્ય પર વિદ્યાર્થીઓને માર મારવાનો આક્ષેપ:ગાડીનો કાચ તૂટ્યો તો ત્રણ વર્ગના નિર્દોષ બાળકોને સામૂહિક માર માર્યો, વાલીઓમાં રોષ-હોબાળો

ગાંધીનગરના નજીક આવેલા વાવોલ ગામની સરકારી શાળામાં શિસ્તના નામે માનવતા નેવે મૂકાઈ હોય એવી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સામૂહિક રીતે ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આચાર્યની આ જોહુકમી અને ત્યારબાદ શિક્ષકોના ઉદ્ધત વર્તનને પગલે વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને તાત્કાલિક આચર્યને સસ્પેન્ડ કરી કડક પગલા ભરવાની વાલીઓએ માગ કરી છે. શાળાના કોઈ વિદ્યાર્થી દ્વારા અજાણતા આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી ગયોગાંધીનગરના વાવોલની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શાળાના કોઈ વિદ્યાર્થી દ્વારા અજાણતા આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ બાબતથી આચાર્ય એટલા રોષે ભરાયા હતા કે તેમણે કયા વિદ્યાર્થીએ કાચ તોડ્યો છે તે શોધવાને બદલે ત્રણ અલગ-અલગ વર્ગના તમામ વિદ્યાર્થીઓને એકત્ર કરી માર માર્યો હોવાનો આક્ષેપ વાલીઓ ધ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ઢોરમાર મારી આચાર્ય રજા પર ઊતરી ગયાવાલીઓના કહેવા મુજબ આચાર્યએ પિત્તો ગુમાવીને નિર્દોષ બાળકોને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેના કારણે અનેક બાળકોના શરીર પર આંગળા ઉઠી આવ્યા હતા અને બાળકો ફફડી ઉઠ્યા હતા. આ ઘટનાના પગલે આજે વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા પરંતુ, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અથવા વાલીઓને જવાબ આપવાને બદલે આચાર્ય રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું હતું. શાળાના પટાંગણમાં કલાકો સુધી હોબાળો ચાલ્યોશાળાએ પહોંચેલા વાલીઓએ જ્યારે અન્ય શિક્ષકો પાસે આ બાબતે ખુલાસો માંગ્યો, ત્યારે ત્યાં હાજર સ્ટાફે જવાબદારી સ્વીકારવાને બદલે વાલીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થયા છે. વાલીઓનો આરોપ છે કે, શિક્ષકો અમને યોગ્ય જવાબ આપવાને બદલે ઉદ્ધતાઈપૂર્વક વાત કરી રહ્યા છે અને આચાર્યના બચાવમાં ઉતર્યા છે. શાળાના પટાંગણમાં કલાકો સુધી ચાલેલા આ હોબાળાને કારણે અભ્યાસ કાર્ય ખોરવાયું હતું. શિક્ષકોને પૂછપરછ કરતા કોઈ જવાબ આપવા તૈયાર નથીઆ અંગે એક વિધાર્થીના વાલી રાજુભાઈ નાડિયાએ કહ્યું કે,કાલે મને ખબર પડી કે આ રીતે મારા છોકરાને વગાડ્યું છે એટલે હું આજે સ્કૂલમાં આવ્યો છું. શિક્ષકોને પૂછપરછ કરી પણ શિક્ષકો કોઈ સાચો અને વ્યવસ્થિત જવાબ આપતા નથી. ​મારા છોકરાને એટલા માટે મારવામાં આવ્યો કે ઉપરથી કોઈ છોકરાએ પથ્થર માર્યો હશે અને ગાડીનો કાચ તૂટ્યો હશે. આ ઘટનાને પગલે પ્રિન્સિપાલ સાહેબે ધોરણ 6, 7 અને 8 ના ત્રણેય વર્ગના છોકરાઓને ભેગા કરીને માર માર્યો છે. ​ખૂબ જ બેરહેમીપૂર્વક બાળકોને મારવામાં આવ્યા છે. આવું કૃત્ય તો કોઈ તાલિબાની પણ ન કરી શકે એવી રીતે બાળકોને માર્યા છે. ખરેખર સરકારે આ બાબતે યોગ્ય અને કડક પગલાં લેવા જોઈએ. મારો દીકરો એટલો ડરી ગયો હતો કે, આજે સ્કૂલે જવા પણ તૈયાર નહોતોજ્યારે અન્ય એક વાલી સોલંકી આનંદીબેને કહ્યું કે, મારો છોકરો અહીંયા ધોરણ-7માં અભ્યાસ કરે છે. કાલે સાંજે પ્રિન્સિપાલની ગાડી અહીં પડી હતી અને કોઈ છોકરાએ પતંગ માટે પથ્થર માર્યો હશે જેનાથી ગાડીનો કાચ તૂટી ગયો.​આ વાત પર પ્રિન્સિપાલ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે ધોરણ-6થી 8ના તમામ બાળકોને લોબીમાં ઉભા રાખીને ઢોર માર માર્યો છે. મારા બાબાને પણ વાગ્યું છે અને તે એટલો ડરી ગયો હતો કે, આજે સ્કૂલે આવવા પણ તૈયાર નહોતો પણ અમે મહામુસીબતે તેને મોકલ્યો છે. વાત ઘરે કરશો તો તમારું નામ કમી કરી દઈશું એવી ધમકી અપાયાના પણ આક્ષેપ​શાળાના બહેનોએ બાળકોને એવી પણ ધમકી આપી છે કે, જો આ વાત ઘરે કરશો તો તમારું નામ કમી કરી દઈશું.અને સર્ટિફિકેટ આપીને ઘરે વળાવી દઈશું. અમે જ્યારે પ્રિન્સિપાલ વિશે પૂછ્યું તો અન્ય સ્ટાફે કહ્યું કે સાહેબને છાતીમાં દુખાવો ઉપડ્યો છે એટલે તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમને તો ન્યાય જોઈએ ઉલ્લેખનીય છેકે,બાળકોને શારીરિક સજા કરવી એ કાયદેસરનો ગુનો છે. તેમ છતાં સરકારી શાળામાં આ રીતે માસૂમ બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓએ માંગ કરી છે કે આવા અત્યાચારી આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. વાલીઓ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી પણ કેટલાક વાલીઓએ ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:33 pm

નવસારી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ:પૂર્વ પ્રમુખનો ધારાસભ્યને પત્ર, સંગઠનની નબળી કામગીરી અને પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ

નવસારી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈએ ધારાસભ્ય અનંત પટેલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સંગઠનની નબળી કામગીરી અને વ્યક્તિગત કિન્નાખોરી સામે ગંભીર રોષ વ્યક્ત કર્યો છે. દેસાઈએ આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં સંગઠનની સમજ વગરના લોકોને હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે અને પક્ષના પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. પત્રમાં સિદ્ધાર્થ દેસાઈએ જણાવ્યું છે કે, તેમણે હંમેશા પક્ષને મજબૂત કરવા માટે તન-મન-ધનથી મહેનત કરી છે. જોકે, હાલના કારભારીઓને તેમની જરૂર હોય તેવું જણાતું નથી. તેમણે ગંભીર આક્ષેપ કરતા લખ્યું કે, બ્લોક પ્રમુખો કાર્યકરોને એવું કહે છે કે તેમને કાર્યક્રમોમાં બોલાવવાની ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે ના પાડી છે. દેસાઈએ સ્થાનિક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. જેમાં ખૂંધ ગામે થયેલ મર્ડર, સાદકપોર સરપંચ સામેની દરખાસ્ત અને આવાસ યોજનામાં ભાજપ સાથેની કથિત સાંઠગાંઠ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ દ્વારા તેમણે પક્ષની બગડતી છબી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ પ્રમુખે એમ પણ જણાવ્યું કે મોવડી મંડળ માત્ર ધારાસભ્યોનું જ સાંભળે છે, જે પક્ષના પતનનું કારણ બની શકે છે. આ પત્રઘાતને પગલે નવસારી કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી નવસારી કોંગ્રેસનું રાજકારણ આંતરિક વિખવાદ અને જૂથવાદથી પ્રેરિત હોય તેવું લાગી રહ્યું છે. પત્રમાં સંગઠનની જવાબદારી મજબૂત કરી યોગ્ય નિર્ણય લેવાય તેવી પણ ભલામણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:25 pm

થર્ટી ફસ્ટ પહેલાં અમરેલીમાં SMCનો સપાટો:60 લાખના વિદેશી દારૂ સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત, એક બુટલેગર ઝડપાયો; 16 ફરાર

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામ નજીક ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોડી રાત્રે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનું કટિંગ કરી વિતરણ થાય તે પહેલા જ SMC ત્રાટકી SMC ટીમે ટ્રક અને અન્ય વાહનો દ્વારા દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રેડ કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી 12,726 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 59,64,390 છે. આ ઉપરાંત, મહિન્દ્રા પીકઅપ (GJ 32T2199, GJ10TV9512), ટ્રક (GJ03BZ0181) અને એક બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 1 ઝડપાયો, 16 આરોપી ફરારઆ દરોડા દરમિયાન ગારીયાધારના તનવીર નસીરહુસેન નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, મુસીમ તેલી, સોહેલ સૈયદ સહિત વાહન માલિકો, ડ્રાઇવરો અને અન્ય અજાણ્યા માણસો મળી કુલ 16 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જપ્ત કરાયેલો કુલ રૂ. 1,04,69,390 નો મુદ્દામાલ ખાંભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. દારૂ ક્યાંથી લવાયો હતો એ અંગે તપાસ ચાલુ31 ડિસેમ્બર નજીક હોવાથી બુટલેગરો સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે ત્યારે આ મોટો જથ્થો ઝડપાયો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા જિલ્લાઓ, શહેરો કે ગામડાઓમાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલસ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડાથી ખાંભા પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં પોલીસ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આશરે 15 દિવસ પહેલા પણ બાબરા પંથકમાંથી દારૂ ભરેલું એક કન્ટેનર SMC ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:22 pm

અમદાવાદના ફન બ્લાસ્ટમાં બાળકો સાથે બાળક બન્યા CM:ટોય ટ્રેનમાં કરી રાઈડ, અધિકારીઓ સાથે હળવી મજાક; રમકડા આપવા જતા ભૂલકાઓ ટોળુ વળ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એસ.જી. હાઇ-વે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી મસ્તી કરી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ અને બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડાં વહેંચીને બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું હતું. આ કાર્યક્રમમાં CM અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા હતા, જેનાથી ફન બ્લાસ્ટમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. CM આવ્યા ત્યારે બાળકોએ બે હાથ ઊંચા કરી સ્વાગત કર્યુંરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદના એસ.જી. હાઇ-વે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભાના આંગણવાડીના બાળકો દર શનિવારે એસ.જી. હાઇ-વે અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતા હોય છે ત્યારે આજે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાના બાળકો દ્વારા બે હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ મજા કરાવી હતી ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો ફન બ્લાસ્ટમાં CM આજે આંગણવાડીના બાળકો સાથે સમય વીતાવવા પહોંચ્યા હતા. અહીં CM બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બની બનીને હળવી મજાક કરી. આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને CM સાંભળી રહ્યા હતા. જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ. દર શનિવારે આંગણવાડીની 4થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન આવે છેફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલી તમામ વિધાનસભાના બાળકો દર શનિવારે વિવિધ આંગણવાડીની 4થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે આવે છે, જ્યાં નાના બાળકોને સવારે 9:00થી 11 વાગ્યા સુધી તમામ રાઈડમાં રમતો રમવા દેવામાં આવે છે. આ રમતોની સાથે બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે. સાથે-સાથે રમકડાઓનું વિતરણ પણ કરાવવામાં આવે છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાતે આવ્યા હતા અને તેઓ દ્વારા બાળકો સાથે મજા માણી અને રમકડા વિતરણ કરવામાં આવ્યું હતું. આજે CM પણ કાર્યક્રમમાં બાળકો સાથે હાજર રહ્યા હતાસહકારી આગેવાન બિપિન પટેલ (ગોતા)એ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગર લોકસભામાં દર શનિવારે તેમના મતવિસ્તારની આંગણવાડીના બાળકો આવતા હોય છે અને મજા માણતા હોય છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આજે આ કાર્યક્રમમાં બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા કવિતાઓ અને બાળગીત ગાવામાં આવ્યા હતામુખ્યમંત્રી આંગણવાડીના બાળકોની સાથે બેઠા હતા અને બાળકો દ્વારા કવિતાઓ અને બાળગીત ગાવામાં આવ્યા હતા, જે સાંભળીને તેઓ પણ ખુશ થઈ ગયા હતા. બાળકોને રમકડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રમકડા વિતરણ કર્યા બાદ તેઓ બાળકો સાથે ટ્રેનમાં પણ બેઠા હતા. ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે ફન બ્લાસ્ટમાં અંદાજે 50 મિનિટ જેટલો સમય નાના બાળકો સાથે પસાર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:16 pm

બોટાદમાં 42મી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:મુંબઈ સહિત 30 ટીમ ભાગ લેશે, 26થી 28 ડિસેમ્બર સુધી મેચો રમાશે

બોટાદ શહેરમાં ૪૨મી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે. સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના મૂળ વતન ગણાતા બોટાદને આ વર્ષે યજમાનપદ મળ્યું છે. આ ટુર્નામેન્ટ 26થી 28 ડિસેમ્બર સુધી ચાલશે. બોટાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ ધર્મિષ્ઠાબેન જોટાણીયા અને સમાજના આગેવાનોના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈ, નડિયાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર અને બોટાદ સહિત વિવિધ શહેરોમાંથી કુલ ૩૦ ટીમો ભાગ લઈ રહી છે. વરિયા પ્રજાપતિ સમાજ બોટાદ અને આસપાસના ચોવીસ ગામડાઓમાં વસે છે, જેના કારણે આ સમાજને ‘ચોવીસી પ્રજાપતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગામી ત્રણ દિવસ દરમિયાન એક જ સ્થળે તૈયાર કરવામાં આવેલા પાંચ ગ્રાઉન્ડ પર સતત મેચો યોજાશે. ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે સમાજના આગેવાનો, મહાનુભાવો અને વરિષ્ઠ મુરબ્બીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મુરબ્બીઓ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અનુદાન પણ આપવામાં આવ્યું હતું. મેચોને નિહાળવા માટે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, મુંબઈ, ભાવનગર, નડિયાદ અને બોટાદથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:03 pm

મરીન પોલીસ મથકના PSOનું ચાલુ ફરજે મોત:સુખદેવ વસાવા ચાલુ નોકરીએ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા, હાર્ટ-એટેકની આશંકા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ વિભાગ માટે આજે એક અત્યંત દુઃખદ દિવસ સાબિત થયો છે. હજીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક સંભવિત હાર્ટ-એટેક આવવાને કારણે નિધન થયું છે. સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ. (PSO) જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને એક નિષ્ઠાવાન જવાન ગુમાવ્યાનો સાથી કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે. પોલીસકર્મી એકાએક બેભાન થઈ ઢળી પડ્યાંઘટનાની વિગતો મુજબ, માટે 38 વર્ષના સુખદેવ વસાવા મરીન પોલીસ મથકમાં પોતાની રોજીંદી ફરજ પર હતા અને કામકાજ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આ જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સાથી કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા. જવાનની ગંભીર હાલત જોતા જ સાથી પોલીસકર્મીઓ તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાનમાં જ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સારવાર મળે તે પહેલાં જ મોતકમનસીબે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચતા જ ફરજ પરના તબીબોએ સુખદેવ વસાવાની તપાસ કરી હતી, પરંતુ હોસ્પિટલના ઉંબરે પગ મૂકે તે પહેલાં જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસ સ્ટેશનથી સાથે આવેલા કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એક ખડતલ અને હસમુખા સાથીદારનું આ રીતે અચાનક વિદાય લેવું તે સમગ્ર વિભાગ માટે આઘાતજનક સમાચાર બની રહ્યા હતા. હાર્ટ-એટેકથી મોત થયાનું અનુમાન પોલીસ જવાનના અચાનક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં ગમગીન દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સત્તાવાર કારણની સ્પષ્ટતા થશે, જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ હાર્ટ-એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાલુ ફરજ પર જાન ગુમાવનાર આ જવાનની અંતિમ વિદાય વખતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:57 am

પરીક્ષક MCQ ના ઓપ્શન આપવાનુ જ ભૂલી ગયા !:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા બી.એડ.સેમ.3 ની પરીક્ષામા છબરડાથી 4000 વિદ્યાર્થીઓ પરેશાન થયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં બી.એડ.સેમેસ્ટર - 3ની પરીક્ષામાં ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ વિષયના 35 માર્કના પેપરમાં 5 માર્કના MCQ પૂછ્યા હતા પરંતુ તેમાં પેપર સેટર જવાબો આપવાનું ભૂલી ગયા હતા. જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. જોકે બાદમાં વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા એમસીક્યુના 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા અને ભૂલ સુધારવામાં આવી હતી. આ પ્રકરણમાં હવે પરીક્ષા વિભાગ દ્વારા અધ્યાપકનો ખુલાસો પૂછવામાં આવશે અને ત્યારબાદ સજા અથવા દંડ ફટકારવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા હાલ B.Edની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 26 ડિસેમ્બરના શુક્રવારે ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ વિષયનું પેપર લેવામાં આવ્યુ હતું. પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્ન પેપરમાં પહેલા 5 MCQ પૂછવામાં આવતા હોય છે. પરંતુ પરીક્ષક દ્વારા MCQ ના જવાબ માટેના 4 ઓપ્શન આપવામાં આવ્યા ન હતા. આ પ્રકારની ભૂલ 5 માર્કના 5 MCQ માં કરવામાં આવી હતી. જોકે બાદમાં વિદ્યાર્થીઓની ફરિયાદ મળતા ભૂલ સુધારવામાં આવી હતી. B.Ed સેમેસ્ટર - 3 ની પરીક્ષામાં પરીક્ષક પેપર સ્ટાઇલ મુજબ MCQ ના જવાબ માટે 4 ઓપ્શન આપવાનું જ ભૂલી જતા પરીક્ષાર્થીઓએ ફરિયાદ કરી હતી. જેથી પરીક્ષા વિભાગે તાત્કાલિક પ્રશ્ન પેપર બદલીને મોકલતા 4000 જેટલા વિદ્યાર્થીઓને વધુ 15 મિનીટનો સમય ફાળવવામાં આવ્યો હતો. જોકે અમુક કોલેજોમાં વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં ન આવ્યો હોવાનું પણ સામે આવ્યુ છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહનો સંપર્ક કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, બી.એડ.સેમેસ્ટર 3 ની પરીક્ષામાં 5 માર્કના એમસીક્યુમાં જવાબો માટેના 4 ઓપ્શન આપવાનું ભુલાઈ ગયું હતુ. જે પેપર સેટરની ભૂલ હતી. જેથી તેનો કમિટી સમક્ષ ખુલાસો પૂછવામાં આવશે અને ત્યારબાદ સજા અથવા દંડ થશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:57 am

શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા 'વીર બાળ દિવસ' ઉજવણીમાં જોડાયા:જામનગર ગુરુદ્વારામાં લંગર પ્રસાદમાં સેવા આપી, પ્રસાદ પણ આરોગ્યો

જામનગરના ગુરુદ્વારા નજીક ચાલી રહેલી 'વીર બાળ દિવસ'ની ઉજવણીમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા જોડાયા હતા. તેમણે ડોક્યુમેન્ટરી નિહાળી હતી અને સેલ્ફી પણ લીધી હતી. ત્યારબાદ, તેમણે ગુરુદ્વારામાં આયોજિત લંગર પ્રસાદમાં સેવા આપી હતી અને ભક્તો સાથે કતારમાં બેસીને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ગુરુદ્વારા નજીક છેલ્લા એક સપ્તાહથી 'વીર બાળ દિવસ'ની ઉજવણી થઈ રહી છે. અહીં ગુરુ ગોવિંદસિંઘજીના સાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી રહી છે અને ચાર સાહિબઝાદાઓના કટઆઉટ્સ પણ મૂકવામાં આવ્યા છે. આ ઉજવણીના ચોથા દિવસે મંત્રી રિવાબા જાડેજા સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી સહિત શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોએ ડોક્યુમેન્ટરી નિહાળી અને વીર બાળકો સાથે સેલ્ફી લીધી હતી. મંત્રી રિવાબા સહિતના અગ્રણીઓએ સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે ગુરુ ગોવિંદસિંઘજી અને તેમના સાહિબઝાદાઓના બલિદાનનો ઇતિહાસ જામનગરની જનતા સમક્ષ પ્રદર્શિત કરવા બદલ ગુરુદ્વારા કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. જામનગર ગુરુદ્વારા કમિટી દ્વારા આ કાર્યક્રમ પ્રતિદિન ચાલુ રાખવામાં આવ્યો છે. આ ઉજવણી આગામી 28 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં દૂધની લંગર પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કમિટી દ્વારા અન્ય શહેરીજનોને પણ આ ધાર્મિક અને પ્રેરણાદાયક કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:52 am

નલિયા 11.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ:ડીસામાં 13.2, અમરેલીમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું; જાણો તમારા શહેરનું તાપમાન

રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 11.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા બાદ ડીસામાં 13.2 અને અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ 0.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 15.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે હળવા ધુમ્મસની અસર જોવા મળી શકે છે, જે વિઝિબિલિટિમાં ઘટાડો થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:43 am

સોમનાથમાં ‘જન કલ્યાણ શિવ વંદના’ પદયાત્રા સંપન્ન:મંત્રી કુંવરજી બાવળીયાએ દર્શન કરી ધ્વજારોહણ કર્યું

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી ‘જન કલ્યાણ શિવ વંદના’ પદયાત્રા સોમનાથ મહાદેવ ખાતે સંપન્ન થઈ છે. આ પદયાત્રા 20 ડિસેમ્બરના રોજ ઘેલા સોમનાથથી શરૂ થઈ હતી. મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પદયાત્રીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મહાદેવને ગંગાજળથી જળાભિષેક અર્પણ કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મંત્રીએ પોતાના પરિવાર સાથે સોમનાથ મંદિરની પરિક્રમા કરી હતી. ત્યારબાદ તેમણે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ધ્વજારોહણ કર્યું. મંદિર પરિસરમાં ઉપસ્થિત પદયાત્રીઓ દ્વારા શિવભજનો પણ ગવાયા હતા. ઘેલા સોમનાથથી શરૂ થયેલી આ પદયાત્રા કુલ 229 કિલોમીટર લાંબી હતી. તે પ્રભાસ ક્ષેત્રમાં સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:38 am

ગોધરા રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:રેલવે પોલીસે વાલીવારસોની શોધખોળ શરૂ કરી

ગોધરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ વચ્ચેના સ્ટીલના બાકડા પરથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઈ તેના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે. ગોધરા રેલવે પોલીસ સ્ટેશની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આશરે 70 વર્ષીય અજાણ્યા પુરુષનું કોઈ બીમારીના કારણે કુદરતી રીતે મૃત્યુ થયું હોવાની આશંકા છે. મૃતકની ઓળખ માટે પોલીસે વર્ણન જાહેર કર્યું છે. મૃતક આશરે 70 વર્ષના, ઘઉંવર્ણના, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ અને પાતળા બાંધાના છે. તેમણે ભૂરા રંગનું આખી બાંયનું શર્ટ, કમરના ભાગે છીકણી કલરનું પેન્ટ અને કાળા કલરનું ગરમ જેકેટ પહેરેલું છે. અનાર્મ વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રુતિકાબેન ધનાભાઈ દ્વારા આ અંગે રિપોર્ટ કરવામાં આવ્યો છે. ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. એસ.ડી. બારીયાએ જણાવ્યું કે, મૃતકના વાલીવારસોની તપાસ ચાલી રહી છે અને ઓળખ માટે જાહેર જનતાને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:37 am

પાટણ નગરપાલિકાએ દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરી:મેન બજાર, બગવાડા દરવાજામાંથી લારીઓ, વજનકાંટા જપ્ત, દંડ વસૂલ્યો

પાટણ નગરપાલિકાએ શહેરના મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને વજનકાંટા જપ્ત કરીને દંડ વસૂલવામાં આવ્યો હતો. લાંબા સમયથી પાટણ શહેરના વ્યસ્ત મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં લારીઓના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. નગરપાલિકાએ અગાઉ લારી ચાલકોને પોતાની લારીઓ નિર્ધારિત પાટાની અંદર રાખી રસ્તો ખુલ્લો રાખવા સૂચના આપી હતી. આ સૂચના છતાં, ઘણા લારી ચાલકો દ્વારા તેનો અમલ થતો ન હતો અને લારીઓ રસ્તાની વચ્ચે જ ઊભી રાખવામાં આવતી હતી. આ સ્થિતિને ગંભીરતાથી લઈ નગરપાલિકાની ટીમે મેન બજારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. બગવાડા દરવાજા સહિતના વિસ્તારોમાં દબાણ દૂર ન કરનાર લારી ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. પાલિકાની ટીમે આવા લારી ચાલકોના વજનકાંટા અને અન્ય સામગ્રી જપ્ત કરી. નિયમભંગ કરનારા વેપારીઓ અને લારી ચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો. પાલિકા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ જો પાટાની બહાર લારીઓ રાખવામાં આવશે અથવા ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરવામાં આવશે, તો વધુ કડક કાર્યવાહી કરી માલસામાન જપ્ત કરવામાં આવશે. જોકે, થોડી વાર બાદ ફરી લારીઓ રોડ ઉપર ગોઠવાઈ ગઈ હતી. હાલમાં મેન બજારમાં રસ્તો મોકળો કરવા માટે લેવાયેલા આ પગલાંથી વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:35 am

વાજપેયીજીના નામે બનેલો બાયોડાયવર્સિટી પાર્ક 'દારૂનો નવો અડ્ડો':જ્યાં જુઓ ત્યાં બોટલો-પોટલીઓ, સિક્યુરિટીના નામે મીંડું, '3-4 દિવસે 500 પોટલીઓ ઉંચકીએ છીએ': સફાઈકર્મી

સુરતના અલથાણ વિસ્તારમાં 143 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો અને શહેરનું ‘ઓક્સિજન હબ’ ગણાતો અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્ક આજે અસામાજિક તત્વો અને નશાખોરોનો અડ્ડો બની ગયો છે. જે ગાર્ડનમાં શુદ્ધ હવા અને કુદરતી સૌંદર્ય હોવું જોઈએ, ત્યાં અત્યારે દારૂની ખાલી પોટલીઓ, તૂટેલા ગ્લાસ અને નશાખોરોની મહેફિલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નશાખોરોએ પાર્કની ફેન્સિંગ કાપીને ચોર રસ્તા બનાવી લીધા છે અને સુરક્ષાના નામે માત્ર બે ગાર્ડ હોવાથી રાત્રિના સમયે અહીં બેરોકટોક મહેફિલો જામે છે. સફાઈ કામદાર મહિલાઓના જણાવ્યા મુજબ, તેઓ દર ત્રણ-ચાર દિવસે પાર્કમાંથી 400થી 500 દારૂની પોટલીઓ ઉંચકે છે. પાલિકા અને પોલીસ તંત્રની ઉદાસીનતાને કારણે કરોડોનો આ ડ્રીમ પ્રોજેક્ટ હવે સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ વોકર્સ માટે ભયજનક સ્થળમાં ફેરવાઈ ગયો છે. ઝાડીઓની પાછળ દારૂની બોટલો અને ગ્લાસનો ખડકલોઅલથાણ પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતાની સાથે જ વોકિંગ ટ્રેકની બંને બાજુએ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળે છે. જ્યાં પક્ષીઓનો કલરવ હોવો જોઈએ, ત્યાં દારૂની ખાલી પોટલીઓ ઉડતી જોવા મળે છે અને 9 લાખ વૃક્ષોની ગીચતાનો લાભ નશાખોરો ઉઠાવી રહ્યા છે. આ ઝાડીઓની પાછળ એવી રીતે દારૂની બોટલો અને પ્લાસ્ટિકના ગ્લાસનો ખડકલો છે કે જાણે અહીં રોજ રાત્રે સેંકડો લોકો મહેફિલ જમાવતા હોય. દારૂ પીધા બાદ બોટલો ટ્રેક પર જ ફોડી નાખવામાં આવે છે, જેના કારણે સવારે વોકિંગ માટે આવતા વરિષ્ઠ નાગરિકો અને બાળકોના પગમાં કાચ વાગવાનો સતત ભય રહે છે. 13 કિમી લાંબો વોકિંગ ટ્રેક નશાખોરો માટે પીવાનો અડ્ડોનશાખોરોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓએ આખા પાર્કની લોખંડની ફેન્સિંગને અનેક જગ્યાએથી કટર વડે કાપી નાખી છે. રાત્રિના અંધારામાં સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીમાં આ કાપેલી ફેન્સિંગ વાટે નશાખોરો આરામથી અંદર પ્રવેશે છે. આ 13 કિમી લાંબો વોકિંગ ટ્રેક હવે નશાખોરો માટે સુરક્ષિત ગલી જેવો બની ગયો છે. સવારમાં સફાઈ કર્મચારીઓ આવે તે પહેલા આ નશાખોરો પોતાનો કચરો ત્યાં જ મૂકીને રફુચક્કર થઈ જાય છે. માત્ર 7 મહિનામાં જ આખું ગાર્ડન 'બાર' માં ફેરવાઈ ગયુંપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જેવી મહાન વિભૂતિના નામે બનેલા આ પાર્કની આવી હાલત જોઈને સુરતીઓમાં રોષ ફેલાયો છે. 143 કરોડના ખર્ચે બનેલા પ્રોજેક્ટમાં શું પાલિકા પાસે પુરતા સિક્યુરિટી ગાર્ડ્સ નથી? કે પછી જાણી જોઈને આ નશાખોરી પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? માત્ર 7 મહિનામાં જ આખું ગાર્ડન 'બાર' માં ફેરવાઈ ગયું છે. દારૂની પોટલીઓ સાથે કોલ્ડ્રિંક્સની બોટલો અને નાસ્તાના પેકેટો પણ ઠેર-ઠેર પડ્યા રહે છે, જે દર્શાવે છે કે અહીં લાંબા સમય સુધી મહેફિલો ચાલે છે. તળાવમાં લીલ જામી ગયેલી અને આસપાસ કચરાના ઢગલાજે તળાવને કુદરતી અહેસાસ માટે બનાવવામાં આવ્યું હતું, તેના કિનારે પણ દારૂની બોટલો ફેંકવામાં આવી છે. તળાવમાં લીલ જામી ગઈ છે અને આસપાસ કચરાના ઢગલા છે. રખડતા કૂતરાઓ આ કચરાના લીધે પાર્કમાં ડેરો જમાવીને બેઠા છે, જેનાથી સામાન્ય મુલાકાતીઓ પર હુમલાનો ખતરો વધી ગયો છે. સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના લીરેલીરાસુરતના સિટીલાઇટ અને અલથાણ વિસ્તારની શાન ગણાતા અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્કની હાલત કેટલી હદે બદતર થઈ ગઈ છે, તેનો પુરાવો ત્યાં કામ કરતા કર્મચારીઓએ જ આપ્યો છે. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કરનાર મહિલાઓની જે વાત સામે આવી છે, તે સાંભળીને સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના લીરેલીરા ઉડી રહ્યા છે. વિશાળ પાર્કની સુરક્ષા માટે રાત્રે માત્ર બે જ સિક્યુરિટી ગાર્ડપાર્કની સુરક્ષા સંભાળતા સિક્યુરિટી ગાર્ડ સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે એક ભયાનક સત્ય સ્વીકાર્યું હતું. ગાર્ડે કબૂલાત કરી હતી કે, 'અહીં મોટી સંખ્યામાં લોકો રાત્રે દારૂ પીવા માટે આવે છે.', પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કરોડોના ખર્ચે બનેલા આટલા વિશાળ પાર્કની સુરક્ષા માટે રાત્રે માત્ર બે જ સિક્યુરિટી ગાર્ડ તહેનાત હોય છે. 143 કરોડના પ્રોજેક્ટની સુરક્ષા માટે પાલિકાની ગંભીરતા પર સવાલગાર્ડે જણાવ્યું કે, તેઓ સવારની ડ્યુટીમાં હોય છે અને રાત્રે બે ગાર્ડ ડ્યુટી કરે છે, પરંતુ અંધારામાં અને સિક્યુરિટીના અભાવે અસામાજિક તત્વો ક્યાંથી અંદર ઘૂસી જાય છે અને મહેફિલો જમાવે છે તેની કોઈને ગતાગમ હોતી નથી. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે 143 કરોડના પ્રોજેક્ટની સુરક્ષા માટે પાલિકા કેટલી ગંભીર છે. '400થી 500 જેટલી દારૂની ખાલી પોટલીઓ ઉંચકીએ છીએ'બીજી બાજુ, પાર્કની સફાઈ કરતી મહિલા કર્મચારીઓની હાલત અત્યંત દયનીય છે. તેમણે રડમસ અવાજે જણાવ્યું હતું કે, અહીં દરરોજ દારૂની અસંખ્ય પોટલીઓનો ખડકલો હોય છે. તેમણે જે આંકડો આપ્યો તે સાંભળીને કોઈ પણ ચોંકી જશે. મહિલા કર્મચારીએ કહ્યું કે, 'દર ત્રણ-ચાર દિવસે અમે અહીંથી 400થી 500 જેટલી દારૂની ખાલી પોટલીઓ ઉંચકીએ છીએ.' ફૂલો કે છોડની સુગંધને બદલે દારૂની દુર્ગંધ વચ્ચે કામ કરતા કર્મચારીઓમજબૂરીમાં આ મહિલાઓને નશાખોરો દ્વારા ફેલાવવામાં આવેલી ગંદકી અને દારૂની પોટલીઓ સાફ કરવી પડે છે. ગાર્ડનની ચારે બાજુ ફૂલો કે છોડની સુગંધને બદલે દારૂની દુર્ગંધ વચ્ચે આ કર્મચારીઓ કામ કરવા મજબૂર છે. સફાઈ કામદારોના મતે ગંદકીનું સામ્રાજ્ય એટલું વધી ગયું છે કે હવે આ પાર્કને સાફ કરવો એ એક અશક્ય કામ જેવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:25 am

હડિયોલ શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:350 વિદ્યાર્થીએ 150 કૃતિ રજૂ કરી; ગ્રામજનો, પંચાયતના હોદ્દેદારો, SMCના સભ્યો અને વાલીઓએ મુલાકાત લીધી

હિંમતનગરના હડિયોલ ખાતે આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ 150 કૃતિઓ રજૂ કરી હતી. શાળાના કુલ 550 વિદ્યાર્થીઓમાંથી 350 વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝથી તૈયાર કરેલા વિવિધ મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કર્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો હતો. આ અંગે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે, હડિયોલ પ્રાથમિક શાળા પીએમશ્રી-ગુજરાત દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે આ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રામજનો, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, SMCના સભ્યો અને વાલીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓની કૃતિઓને બિરદાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:16 am

રાજ્ય ગ્રાહક કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો:વેપારીને વ્યાજ સાથે ₹12 લાખથી વધુ વળતર ચૂકવવા આદેશ

પાટણના એક વેપારીને ભારે વરસાદમાં ફર્નિચરને થયેલા નુકસાન બદલ વળતર ન ચૂકવવાના જિલ્લા ગ્રાહક કમિશનના હુકમને રાજ્ય ગ્રાહક કોર્ટે રદ કર્યો છે. રાજ્ય કોર્ટે વીમા કંપની અને બેંકને વેપારીને વ્યાજ સહિત ₹12 લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ પાટણના કૃષ્ણમ પ્લાઝા કોમ્પલેક્ષમાં ભોંયરામાં ફર્નિચરની દુકાન ધરાવતા વેપારીનો છે. તેમણે 28 માર્ચ 2015ના રોજ પાટણ નાગરિક સહકારી બેંક મારફતે બજાજ આલિયાન્ઝ વીમા કંપની પાસેથી માલસામાનની વીમા પોલિસી લીધી હતી. 27 જુલાઈ 2015ના રોજ ભારે વરસાદને કારણે તેમની દુકાનમાં પાણી ઘૂસી ગયું હતું, જેનાથી ફર્નિચરના સામાનને મોટું નુકસાન થયું હતું. વેપારીએ વીમા કંપનીમાં વળતર માટે અરજી કરી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. જોકે, વીમા કંપનીએ વળતર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી વેપારીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કમિશને પણ તેમની ફરિયાદ ફગાવી દીધી હતી. આ હુકમ સામે વકીલ દર્શકભાઈ ત્રિવેદી મારફતે રાજ્ય ગ્રાહક કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અપીલમાં દલીલ કરવામાં આવી હતી કે જિલ્લા કોર્ટનો હુકમ ગેરકાયદેસર, મનસ્વી અને અયોગ્ય હતો. વેપારીની દુકાન ભોંયરામાં હોવા છતાં બેંક અને વીમા કંપનીએ વીમા રક્ષણ આપ્યું હતું. પૂરના નુકસાન માટે માલ બેઝમેન્ટમાં રાખેલ છે તેવું કારણ આપી વળતર ન ચૂકવવું અન્યાયી છે તેવી દલીલ રજૂ કરાઈ હતી. રાજ્ય ગ્રાહક કોર્ટના ઇન્ચાર્જ પ્રમુખ એલ.ડી. પટેલે આ દલીલોને માન્ય રાખી નીચલી અદાલતનો હુકમ રદ કર્યો હતો. તેમણે બેંક અને વીમા કંપનીને સંયુક્ત રીતે ફરિયાદીને ₹6,67,627, ફરિયાદ દાખલ થયાના દિવસથી 8 ટકા વ્યાજ સાથે, માનસિક ત્રાસ બદલ ₹25,000 અને ખર્ચ પેટે ₹10,000 બે મહિનામાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વકીલ દર્શકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કુલ ₹12 લાખથી વધુ વળતર મળવાપાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:12 am

નખત્રાણા પાસે ટ્રક પાછળ બુલેટ ભટકાયું:અમદાવાદના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત, એક ઇજાગ્રસ્ત

કચ્છના નખત્રાણા નજીક નાગલપર ફાટક પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બુલેટ-ટ્રકની પાછળ અથડાતા અમદાવાદના એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં અમદાવાદના 35 વર્ષીય મિતેષ મિતાસ જોશીનું મૃત્યુ થયું હતું. તેઓ બુલેટ ચલાવી રહ્યા હતા અને અમદાવાદથી માતાના મઢ દર્શને જઈ રહ્યા હતા. બુલેટ પર સવાર અન્ય એક વ્યક્તિ, 64 વર્ષીય વનરાજસિંહ કારુભા જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટના નખત્રાણાના નાગલપર ફાટક નજીક બની હતી. બુલેટ મોટરસાયકલ નંબર જીજે 1 NV 3221 આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:04 am

લીમખેડા રાઠોડ પરિવારની દીકરીએ રચ્યો ગૌરવપૂર્ણ ઇતિહાસ:MBBS અભ્યાસ પૂર્ણ કરી નવી પેઢી માટે ઉદાહરણ પૂરું પાડ્યું

દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ માંથી લીમખેડા રાઠોડ પરિવારની પ્રથમ દીકરી ડો. નિહારિકા હસમુખ પ્રજાપતિએ એમબીબીએસની ડિગ્રી સફળતાપૂર્વક મેળવી છે. આ સિદ્ધિ દ્વારા તેમણે પરિવાર અને સમગ્ર લીમખેડા તાલુકાનું નામ રોશન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીએ કઠિન તબીબી અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર બની સમાજસેવાના માર્ગે આગળ વધીને અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સિદ્ધિ લીમખેડા તાલુકાની દીકરીઓ માટે આશા અને આત્મવિશ્વાસનું પ્રતીક બની છે.ડો. નિહારિકાએ વર્ષ 2020માં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે તબીબી અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. પાંચ વર્ષના લાંબા અને સંઘર્ષસભર અભ્યાસ દરમિયાન તેમણે અવિરત પરિશ્રમ, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના માર્ગદર્શકોએ જણાવ્યું હતું કે તેમણે અભ્યાસકાળ દરમિયાન શૈક્ષણિક કુશળતા સાથે દર્દીઓ પ્રત્યે માનવીય સંવેદના અને સેવાભાવનાના ગુણો વિકસાવ્યા છે.પરિવારજનોએ જણાવ્યું હતું કે દીકરીની આ સિદ્ધિ પાછળ માતા-પિતાના ત્યાગ, પરિવારનો સતત સહકાર અને શિક્ષકોના માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો છે. આજના સમયમાં દીકરીઓ પણ તબીબી જેવા ઉચ્ચ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે, તેવો સકારાત્મક સંદેશ તેમની સફળતા દ્વારા સમાજ સુધી પહોંચ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિના અવસરે દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વર્ષ 2020ની બેચના વિદ્યાર્થીઓ માટે ત્રીજો ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો હતો. તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલા આ સમારોહમાં પ્રથમ તબક્કે ઝાયડસ હોસ્પિટલ પરિસરમાં કાર્યક્રમો યોજાયા હતા, ત્યારબાદ ઝાયડસ મેડિકલ કોલેજના પરિસરમાં મુખ્ય સમારોહ યોજાઈ ડિગ્રી વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડો. નિહારિકા હસમુખ પ્રજાપતિ સહિત એમબીબીએસ ડિગ્રી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને વિધિવત રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. લીમખેડા રાઠોડ પરિવાર માટે દીકરીની આ સિદ્ધિ ગૌરવ અને આનંદની ક્ષણ બની છે. તેમને સગાસંબંધીઓ, મિત્રવર્તુળ અને સમગ્ર વિસ્તાર તરફથી અભિનંદનો તથા શુભેચ્છાઓ મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:00 am

વાંકાનેરમાં કામા અશ્વ રમતોત્સવનો બીજો દિવસ:ગઢિયા ડુંગરમાં એમ્બ્યુરન્સ રેસ યોજાઈ, ઘોડા-સવારની કસોટી થઈ

વાંકાનેરમાં ચાલી રહેલા કામા અશ્વ રમતોત્સવના બીજા દિવસે ગઢિયા ડુંગર વિસ્તારમાં એમ્બ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસમાં 25 જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઘોડા અને ઘોડેસવાર બંનેની કસોટી થાય છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના રણજીત વિલા પેલેસ નજીકના ગ્રાઉન્ડમાં ગઈકાલથી આ અશ્વ રમતોત્સવ શરૂ થયો છે. ગઈકાલે રાજ્યપાલ, કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે 7 વાગ્યે કાઠિયાવાડી, મારવાડી અને કચ્છી ઘોડાઓ માટે એમ્બ્યુરન્સ રેસ શરૂ થઈ હતી. આ રેસ રણજીત વિલા પેલેસથી શરૂ થઈ ગઢિયા ડુંગરમાં 20 કિલોમીટર ફરીને ત્યાં જ પૂર્ણ થઈ હતી. ગુજરાત કામા હોર્સ સોસાયટીના સભ્ય શિવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રેસથી વિપરીત, એમ્બ્યુરન્સ રેસમાં માત્ર ઝડપ જ નહીં, પરંતુ ઘોડા અને ઘોડેસવારની સહનશક્તિ અને ક્ષમતાની પણ ચકાસણી થાય છે. ઘોડેસવારો ઘોડાઓને લઈને ડુંગરાળ અને પથરાળ પ્રદેશમાંથી પસાર થાય છે. પરત ફર્યા બાદ પશુચિકિત્સકો દ્વારા ઘોડાના હૃદયના ધબકારા, હલનચલન સહિતની તમામ બાબતોનું પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ બાદ જ વિજેતા ઘોડા અને ઘોડેસવારના નામ જાહેર કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:58 am

પોરબંદરમાં રાજાશાહી સમયના જર્જરિત તાકનો બીમ તૂટ્યો:માણેક ચોકમાં ઘટના CCTVમાં કેદ, સદનસીબે જાનહાનિ ટળી

પોરબંદરના વ્યસ્ત માણેક ચોક વિસ્તારમાં રાજાશાહી સમયના એક જર્જરિત તાકનો લાકડાનો બીમ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના જણાવ્યા અનુસાર, આ તાક રાજાશાહી સમયનો છે અને લાંબા સમયથી તેની હાલત અત્યંત જર્જરિત હતી. શહેરીજનોએ આ જર્જરિત તાકના સમારકામ માટે પોરબંદર મહાનગરપાલિકાને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં, મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. બીમ તૂટ્યો તે સમયે આસપાસથી પસાર થતા લોકોનો આબાદ બચાવ થયો હતો. આ વિસ્તાર સામાન્ય રીતે ભારે ભીડવાળો રહે છે અને લોકો તેમજ વાહનોની સતત અવરજવર હોય છે. જો આ ઘટના વ્યસ્ત ટ્રાફિકના સમયે બની હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી શક્યતા હતી. આ ઘટનાએ મહાનગરપાલિકાની બેદરકારી સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. આ ચેતવણીરૂપ ઘટના બાદ મહાનગરપાલિકા તાકીદે સમારકામ અને સુરક્ષાના પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:38 am

સુરતનો ‘મોલ ઇન ગાર્ડન’ જોઈ આંખો પહોળી થઈ જશે:6 માળના મોલમાં જાપાનનાં ફૂલો સહિત 4 લાખ છોડનું વાવેતર; અદભુત 'ફ્લાવર વેલી' તમને કાશ્મીર ભુલાવી દેશે

તમે અત્યાર સુધી કાચ અને સિમેન્ટના મોલ જોયા હશે, પણ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં જે આકાર પામી રહ્યું છે એ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. આ કોઈ સામાન્ય શોપિંગ સેન્ટર નથી, પણ પૃથ્વી પરનું એવું 'સ્વર્ગ' છે, જ્યાં શોપિંગ કરવા નહીં, પણ શ્વાસ લેવા માટે પડાપડી થશે. સુરતમાં પહેલીવાર ‘ગાર્ડન ઇન મોલ’ નહીં પણ ‘મોલ ઇન ગાર્ડન’નો એવો કન્સેપ્ટ આવ્યો છે, જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. જાપાનના ફૂલો અને સુરતનું એન્જિનિયરિંગઆ પ્રોજેક્ટની સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં 4 લાખથી વધુ છોડ લગાવવામાં આવ્યા છે. આ આંકડો સાંભળીને જ લાગે કે જાણે આખું જંગલ મોલની અંદર સમાવી લેવાયું હોય! એટલું જ નહીં, અહીં જોવા મળતી 'વેલી ઓફ ફ્લાવર્સ' માટે ખાસ જાપાનથી રંગબેરંગી ફૂલોના છોડ મંગાવવામાં આવ્યા છે. જ્યારે તમે મોલમાં પ્રવેશશો, ત્યારે તમને એવો અહેસાસ થશે કે તમે સુરતની ગરમીમાં નહીં પણ કાશ્મીરની કોઈ ઠંડી વાદીમાં ઉભા છો. હાઈ-ટેક મશીનોથી ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ આ 6 માળના શોપિંગ પેલેસમાં માત્ર દુકાનો જ નથી. અહીં પગથિયાં આકારના સ્ટેપ ગાર્ડન છે, જ્યાં 20 અલગ-અલગ કલરના ફૂલો ખીલશે. ઇન્ડોર પ્લાન્ટ્સ માટે ખાસ ટ્રોપિકલ ગાર્ડન તૈયાર કરાયું છે, જેમાં ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ કરવા માટે હાઈ-ટેક મશીનો લગાવાયા છે, જેથી વિદેશી ફૂલોને પણ ઘર જેવો અનુભવ થાય. અરે, નવાઈની વાત તો એ છે કે જે બેઝમેન્ટમાં લોકો ગાડી પાર્ક કરીને ઉતાવળે બહાર નીકળી જતા હોય છે, ત્યાં પણ નેચરલ પ્લાન્ટ્સનું કલેક્શન રાખીને તેને જોવાલાયક બનાવવામાં આવ્યું છે. શહેરની નવી ઓળખ બનશે આ પ્રોજેક્ટ4 માળમાં શોપિંગ અને 2 માળમાં ફૂડ-મનોરંજનની સુવિધા તો છે જ, પણ અહીં આવનાર દરેક વ્યક્તિ માટે આકર્ષણનું કેન્દ્ર તો આ 6 પ્રકારના અનોખા ગાર્ડન જ રહેશે. ઓર્કિડ ગાર્ડનથી લઈને ટેરેસ ગાર્ડન સુધી, દરેક જગ્યાએ તમને શુદ્ધ હવા અને કુદરતી સુગંધનો અનુભવ થશે. કોંક્રિટના જંગલ બની ગયેલા શહેરોમાં આ મોલ એક 'ગ્રીન આઇલેન્ડ' સમાન છે. 'આશીર્વાદ હાઈ સ્ટ્રીટ'માં કાશ્મીરની અનુભૂતિ થશેસુરતના ઇતિહાસમાં આ એક એવો પ્રોજેક્ટ છે જે આવનારા સમયમાં શહેરની નવી ઓળખ બનશે. હવે સુરતીઓએ વીકેન્ડમાં ફરવા જવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે 'આશીર્વાદ હાઈ સ્ટ્રીટ'માં જ આખું કાશ્મીર ઉતરી આવ્યું છે. આ ગાર્ડનની અંદર બનેલો મોલ છેઃ મહેન્દ્ર રાઠીમોલના સંચાલક મહેન્દ્ર રાઠીએ જણાવ્યું હતું કે, સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ભટાર, ઘોડદોડ રોડ અને વેસુ જેવા મુખ્ય કેન્દ્રોની વચ્ચે ‘આશીર્વાદ હાઈ સ્ટ્રીટ’ નામનો એક અનોખો શોપિંગ મોલ આકાર પામી રહ્યો છે. આ પ્રોજેક્ટ તેના વિશિષ્ટ ‘મોલ ઇન ગાર્ડન’ કન્સેપ્ટને કારણે જાણીતો બન્યો છે. કારણ કે અત્યાર સુધી લોકોએ મોલની અંદર બગીચો જોયો હશે, પરંતુ આ ગાર્ડનની અંદર બનેલો મોલ છે. ‘4 લાખથી વધુ છોડની દેખભાળ માટે 100 માળી’કુલ છ માળની આ ઇમારતમાં ચાર માળ બ્રાન્ડેડ શોરૂમ્સ માટે અને બે માળ ફૂડ કોર્ટ, મલ્ટીપ્લેક્સ, ગેમ ઝોન અને કેફે જેવા મનોરંજન માટે ફાળવવામાં આવ્યા છે. પ્રકૃતિ પ્રેમી એમ.ડી. ગોપાલભાઈના વિઝનથી તૈયાર થયેલા આ મોલમાં કુલ 4 લાખથી વધુ છોડ લગાવવામાં આવ્યા છે. આ ગ્રીન બિલ્ડિંગની જાળવણી માટે 200 લોકોની ટીમ છેલ્લા 6 વર્ષથી મહેનત કરી રહી છે, જેમાં 100 માળી, 50 સિક્યુરિટી અને 50 હાઉસકીપિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. ‘સ્ટેપ ગાર્ડન’માં જાપાનના 20 અલગ-અલગ રંગના ફૂલોના છોડ’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ 6 માળના શોપિંગ પેલેસમાં માત્ર દુકાનો જ નથી. આ મોલની સૌથી મોટી ખાસિયત તેમાં નિર્મિત છ અલગ-અલગ પ્રકારના ગાર્ડન છે. અહીં ‘સ્ટેપ ગાર્ડન’માં જાપાનથી મંગાવવામાં આવેલા ખાસ ‘કેના’ વેરાયટીના 20 અલગ-અલગ રંગના ફૂલોના છોડ જોવા મળે છે. આ ઉપરાંત અહીં ‘વેલી ઓફ ફ્લાવર્સ’, ‘ઓર્કિડ ગાર્ડન’ અને ‘ટેરેસ ગાર્ડન’ની સુંદરતા પણ માણવા મળશે. પર્યાવરણ માટેની પણ એક એળખઇન્ડોર છોડ માટે ખાસ ‘ટ્રોપિકલ ગાર્ડન’ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યાધુનિક ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે ,કે અહીં પાર્કિંગ અને બેઝમેન્ટ જેવા વિસ્તારોમાં પણ કુદરતી છોડનું વિશાળ કલેક્શન રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ સુરતની એક નવી પર્યાવરણલક્ષી ઓળખ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:20 am

સરીગામમાં ગૌહત્યાનો મામલો:મુસ્લિમ સમાજનો કડક નિર્ણય, ગૌહત્યા કરનારને સમાજમાંથી બાકાત કરાશે

સરીગામમાં ગર્ભવતી ગાયની હત્યાના બનાવ બાદ મુસ્લિમ સમાજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે સરીગામ પંચાયતમાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ગૌહત્યામાં સંડોવાયેલા કોઈપણ મુસ્લિમ વ્યક્તિને સમાજ અને જમાતમાંથી બાકાત કરવામાં આવશે. આ નિર્ણય અનુસાર, જો સરીગામ વિસ્તારમાં કોઈ વ્યક્તિ ગૌહત્યાની પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સાબિત થશે અને તે મુસ્લિમ સમાજનો હશે, તો તેને સમાજમાંથી બહાર કાઢવામાં આવશે. આ ઉપરાંત, આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર પણ આપવામાં આવશે નહીં. સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરાબ થાય છે અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. તેથી, સમાજ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા આવા કૃત્યો સામે કડક વલણ અપનાવશે. આ નિર્ણયથી સરીગામ વિસ્તારમાં શાંતિ, સદભાવ અને કાયદાનું પાલન જળવાઈ રહે તેવી સમાજ દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:10 am

ભરૂચમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપલો:SOGએ ઉત્તરાયણ પૂર્વે 34 ફીરકા જપ્ત કર્યા, એક આરોપીની ધરપકડ

ભરૂચ SOG પોલીસે આગામી ઉત્તરાયણ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે. આમોદ વિસ્તારમાંથી 34 ફીરકા ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કિંમત આશરે ₹20,000 અંદાજવામાં આવી છે. માનવ, પશુ, પક્ષી અને પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 22મી ડિસેમ્બરથી ચાઇનીઝ તુક્કલ, સિન્થેટિક અને નાયલોન પ્લાસ્ટિકથી બનેલી દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધનો હેતુ ગંભીર અકસ્માતો અને પર્યાવરણીય નુકસાન અટકાવવાનો છે. આ જાહેરનામાનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે, SOG ભરૂચના પીઆઈ એ.વી. પાણમીયા અને પીઆઈ એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ એક ટીમ આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. બાતમીના આધારે, આમોદ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, પુરસા રોડ, નવીનગરી, આમોદના રહેવાસી મુકેશ જેસંગભાઇ દેવીપૂજક એક મિણીયાના થેલામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ માટે રાખીને ઉભા હોવાનું જણાયું હતું. પોલીસ તપાસમાં મુકેશ દેવીપૂજક પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ 34 બોબીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹20,000 થાય છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરીને આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 223 (બી) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:09 am

સુરેન્દ્રનગરના 31 શ્રેષ્ઠ સરપંચોનું સન્માન કરાયું:પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો બદલ એવોર્ડ અપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના 31 શ્રેષ્ઠ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમને પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો બદલ એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સુરેન્દ્રનગરની પ્રેસિડેન્ટ હોટલ ખાતે યોજાયો હતો. આ સન્માન સમારોહમાં વઢવાણ મત વિસ્તારના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હેતલ મોદી, અર્જુનભાઈ ડાંગર, વિપુલભાઈ જોશી અને નિમિષભાઈ ઠક્કર સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સરપંચો ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડે છે અને વિકાસના કામો કરે છે. આવા શ્રેષ્ઠ સરપંચોનું અભિવાદન કરવું એટલે આખા ગામનું સન્માન કરવું. દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમારે જણાવ્યું કે, ગામના વિકાસ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ઉત્તમ કામગીરી કરનાર સરપંચોનું સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન અન્ય ગામોના સરપંચોને પણ પ્રેરણા આપશે. એવોર્ડ વિજેતા ખેરવાના યુવા એન્જિનિયર સરપંચ જીગ્નેશ નારણભાઈ રાઠોડે ગુજરાતના છેવાડાના સરપંચોની સારી કામગીરીને બિરદાવવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:07 am

વૃદ્ધે ખેતીકામ માટે મદદ માગી તો હનીટ્રેપમાં ફસાવ્યા:મહિલાએ વાડીએ કપડાં ઉતારી ખેડૂતને બાથ ભરી, સમાધાન માટે એક કરોડ માગ્યા‎, આટલેથી સંતોષ ન થતા અપહરણ કરી ગોંધી રાખ્યા‎

મોરબીના એક ગામમાં રહેતા એક નિર્દોષ વૃદ્ધ ખેડૂતને ખેતમજૂરી માટે માણસની જરૂરિયાત શું ઊભી થઈ, જાણે મુસીબત સામે ચાલીને આવી હોય તેવો ઘાટ સર્જાયો હતો. ખેતકામ માટે મદદ માંગતા વૃદ્ધને એક ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી, વીડિયો ઉતારી અને છેલ્લે અપહરણ કરીને રૂ. 1.14 કરોડની ખંડણી માંગી હતી. જોકે, મોરબી એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 5 આરોપીને રૂ. 51.11 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. ખેતીકામની જરૂરિયાત બની 'ટ્રેપ'મોરબીના એક ગામમાં રહેતા પરબતભાઈ (નામ બદલ્યું છે) નામના ખેડૂતને પોતાની વાડીએ કામ કરવા માટે મજૂરોની જરૂર હતી. આ માટે તેમણે ઓળખીતા પાંચાભાઇ કોળીનો સંપર્ક કર્યો. પાંચાભાઇએ 'ખુશી પટેલ' નામની મહિલા સાથે તેમનો સંપર્ક કરાવ્યો. શરૂઆતમાં આધારકાર્ડ ન હોવાથી પરબતભાઇએ તેને કામે રાખી નહોતી, પરંતુ ખુશી નામની આ મહિલાએ વારંવાર ફોન કરી 'મારે કામની બહુ જરૂર છે' તેમ કહી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હતો. વાડીએ 'માયાજાળ' બિછાવી વીડિયો ઉતાર્યાજ્યારે પરબતભાઇ આ મહિલાને વાડીએ લઈ ગયા, ત્યારે પૂર્વનિયોજિત કાવતરા મુજબ મહિલાએ અચાનક પોતાના કપડાં ઉતારી ખેડૂતને બાથ ભરી લીધી હતી. આ જ સમયે અગાઉથી સંતાઈને બેઠેલા અન્ય આરોપીઓ બે કારમાં ત્યાં ધસી આવ્યા હતા. તેમણે આ સ્થિતિના ફોટા અને વીડિયો ઉતારી લીધા અને ખેડૂતને ધમકાવવાનું શરૂ કર્યું કે, જો પૈસા નહીં આપો તો બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દઈશું અને વીડિયો વાઇરલ કરી દઈશું. 53.50 લાખ પડાવ્યા છતાં સંતોષ ન થયો ને અપહરણ કર્યુંધમકીઓથી ડરી ગયેલા ખેડૂતે પોતાની આબરૂ બચાવવા ટુકડે-ટુકડે 100 ગ્રામના 4 સોનાના બિસ્કીટ, અઢી તોલાની સોનાની ચેન અને રૂ. 1 લાખ રોકડા એમ કુલ મળીને રૂ. 53.50 લાખ જેવો કિંમતી મુદ્દામાલ આપી દીધો હતો. તેમ છતાં, આરોપીઓની લાલચ ઓછી નહોતી થઈ. તેઓએ બાકીના પૈસા માટે ખેડૂતનું કારમાં અપહરણ કર્યું અને છેક બોટાદ લઈ જઈને ત્યાં ગોંધી રાખ્યા હતા. પાંચ આરોપી જેલના સળિયા પાછળખેડૂતે હિંમત હારીને આખરે મોરબી એ-ડિવિઝન પોલીસના દ્વાર ખખડાવ્યા. પીઆઈ આર.એસ. પટેલ અને પીએસઆઈ જે.સી. ગોહિલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં જ 5 શખસને ઝડપી પાડ્યા છે. કબજે કરેલો મુદ્દામાલ (રૂ. 51.11 લાખ): હજુ કોણ છે ફરાર?પોલીસના જણાવ્યા મુજબ, આ ટોળકીની મુખ્ય સૂત્રધાર ગણાતી મહિલા (ખુશી) તેમજ મનીષ ગારીયા અને રમેશ ઉર્ફે રામાભાઇ હજુ ફરાર છે. તેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આ ઘટનાએ મોરબી પંથકમાં ચકચાર જગાવી છે અને ખેડૂત વર્ગમાં સાવચેતી રાખવા માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 9:50 am

અખબાર વિક્રેતાનું 14 દિવસની સારવાર બાદ મોત:ગાંધીનગર અંડરબ્રિજ પાસે પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી હતી, પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગરના સેક્ટર-16 અંડરબ્રિજ પાસે ગત 12મી ડિસેમ્બરના રોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 50 વર્ષીય અખબાર વિક્રેતાનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું છે. મૃતક પેપરનું વિતરણ કરવા નિકળ્યા હતા એ દરમિયાન કારની ટક્કરે આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પૂરપાટ આવતા કારચાલકે સાયકલ સવારને ટક્કર મારીગાંધીનગર સેક્ટર-22માં રહેતા અને અખબાર વિતરણનું કામ કરતા પ્રફુલભાઈ શુક્લ ગત 12 ડિસેમ્બરના રોજ સવારે પોતાના નિત્યક્રમ મુજબ સાયકલ પર પેપર નાખવા નીકળ્યા હતા. ત્યારે સેક્ટર-16 અંડરબ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર (GJ-18-EB-9225)ના ચાલક યશ સોલંકીએ પ્રફુલભાઈની સાયકલને જોરદાર ટક્કર મારી હતી. 14 દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ મોતઆ અકસ્માતમાં પ્રફુલભાઈને માથાના ભાગે અને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે તેઓને તાત્કાલિક ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 14 દિવસથી જીવન મરણ વચ્ચે જોલા ખાતા પ્રફુલભાઈનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ અકસ્માત બાદ પ્રફુલભાઈ બેભાન હાલતમાં હોવાથી અને તેમની સારવાર પ્રાથમિકતા હોવાથી અગાઉ પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી. ત્યારે સારવાર દરમિયાન પ્રફુલ્લભાઈનું મોત થતા તેમના પત્ની રાજેશ્રીબેને ફરિયાદ આપતા પોલીસે કારચાલક યશ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 9:36 am