ગાંધીનગરમાં શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સેક્ટર-૧૨ના ગાર્ડનમાં યોજાયો હતો, જેમાં ગાંધીનગર શહેર અને જિલ્લાના પેન્શનરો તેમજ મંડળના હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સભ્યોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને નિરોગી તથા સ્વસ્થ જીવન માટે કામના કરી હતી. આ પ્રસંગે સૌએ નોકરીકાળ દરમિયાનના જૂના સંસ્મરણોને તાજા કર્યા હતા. મંડળના સભ્ય બળદેવભાઈ જાદવના અવસાન નિમિત્તે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ આઈ.કે. પટેલ અને અન્ય સભ્યોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. ભવિષ્યના કાર્યક્રમો માટે સભ્યો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો. શ્રવણકુમાર પરમારે ફિલ્મી ગીતો ગાઈને મનોરંજન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત સભ્યો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આભાર વિધિ મંડળના સંગઠન મંત્રી ભગુભાઈ સિંઘલે કરી હતી.
નગર પ્રાથમિક શાળા ક્રમાંક 199 ખાતે ઇકો ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ ક્લબનો મુખ્ય હેતુ શાળાને 'ઝીરો વેસ્ટ કેમ્પસ' તરીકે વિકસાવવાનો છે. આ પ્રસંગે બિલો 70 એમએમ નામની પ્રથમ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અસાધારણ ફાઉન્ડેશન, ઇનોવેટ 4 ઇન્ડિયા અને વેસ્ટવોલ્ટૈક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને નગર પ્રાથમિક શિક્ષા સમિતિના સહયોગથી હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમમાં GPCBના પ્રાદેશિક અધિકારી, નગર પ્રાથમિક શિક્ષા સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમને પ્લાસ્ટિક પ્રદૂષણ અને કચરાના વિભાજન વિશે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શીખ્યું કે 70 એમએમથી નાની સાઇઝની પ્લાસ્ટિકને અલગથી એકત્રિત કરવી શા માટે જરૂરી છે, જેથી તે લેન્ડફિલ સુધી ન પહોંચે અને તેનો પુનઃઉપયોગ થઈ શકે. આ ઉપરાંત, માઇક્રોપ્લાસ્ટિક અને મેસોપ્લાસ્ટિકથી પર્યાવરણ પર થતી અસરો તથા વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું. ઇકો ક્લબના વિદ્યાર્થીઓએ 'ઝીરો વેસ્ટ' પ્રતિજ્ઞા લીધી હતી અને કલર કોડેડ ડબ્બાઓ દ્વારા કચરાના વિભાજનની પ્રક્રિયા અપનાવી હતી. આ પહેલ દ્વારા SMC શાળા ક્રમાંક 199 એ સ્વચ્છ અને હરિત વિદ્યાલય બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રયાસ મિશન લાઇફ અને સ્વચ્છ ભારત મિશન સાથે સુસંગત છે, જે ટકાઉ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.
જરૂરિયાતમંદ વડીલોને સહાય:અમદાવાદમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધોને રાશન કીટ વિતરણ કરાયું
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એકાકી જીવન જીવતા વૃદ્ધો માટે નિયમિત રાશન કીટ વિતરણનું કાર્ય કરવામાં આવે છે. આ પહેલ આધુનિક સમાજમાં વૃદ્ધોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં કુટુંબની રચના નાની થતી જાય છે અને વ્યક્તિગત જીવનશૈલીમાં પરિવર્તન આવતા ઘણા વૃદ્ધો એકલા પડી જાય છે. સંતાનો પોતાના જીવનમાં વ્યસ્ત હોવાને કારણે અથવા અન્ય પરિસ્થિતિઓને લીધે આ વૃદ્ધોની સંભાળ રાખવી મુશ્કેલ બને છે. આ રાશન કીટ દ્વારા વૃદ્ધોને રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ, દાળ, તેલ, મસાલા અને અન્ય આવશ્યક સામગ્રી સરળતાથી પ્રાપ્ત થાય છે. આનાથી તેઓને ખોરાક માટે કોઈના પર નિર્ભર રહેવું પડતું નથી અને તેઓ સ્વાભિમાનપૂર્વક જીવન જીવી શકે છે. ભૂખ અને આર્થિક તંગીની ચિંતા દૂર થવાથી તેમના આરોગ્ય અને માનસિક સુખમાં પણ સુધારો થાય છે. આ પહેલ માત્ર ભોજન પૂરું પાડવાનું કાર્ય નથી, પરંતુ એકાકી વૃદ્ધોને સામાજિક જોડાણ અને સંભાળનો અનુભવ કરાવવાનો પ્રયાસ છે. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ કાર્ય સમાજમાં સહાનુભૂતિ, એકતા અને જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે. તે દર્શાવે છે કે સમાજનો સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે તેમાંના નબળા વર્ગની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે.
પોરબંદર BAPS મંદિરે ભવ્ય અન્નકૂટોત્સવ યોજાયો:મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો
પોરબંદરના ખીજડીપ્લોટ સામે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે રવિવારે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 2001માં પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે ખીજડીપ્લોટ સામે આ સુંદર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ભેટ આપી હતી. આ મંદિર ભક્તિ, સત્સંગ અને સદાચારના પાઠો માટે જાણીતું છે. આ મંદિરમાં પ્રતિવર્ષે પાટોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૨૪માં પાટોત્સવ નિમિત્તે અન્નકૂટોત્સવ યોજાયો હતો. અન્નકૂટ આરતી બપોરે ૧૨ વાગ્યે કરવામાં આવી હતી, જ્યારે અન્નકૂટ દર્શન બપોરે ૧૨ થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા. આ ઉપરાંત, સાંજે ૫ થી ૭ કલાક સુધી સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરમાં અષ્ટવિનાયક ગણપતિ મંદિરનો પાંચમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગણેશ યાગ, ધજારોહણ અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિર અને ગણપતિદાદાને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં સવારે 6 વાગ્યાથી 11 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગનો પ્રારંભ થયો હતો. યજમાન બાબુલાલ પુરોહિત પરિવારના અમૃત પુરોહિતના હસ્તે ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરની ધજા સાથે પ્રદક્ષિણા કરીને શિખર પર પૂજન-અર્ચન બાદ ધજારોહણ કરવામાં આવ્યું હતું. ગણેશ યાગનું હવન બપોરે 12:39 કલાકે શ્રીફળ હોમ સાથે પૂર્ણ થયું હતું. હવન પૂર્ણ થયા બાદ ગણપતિદાદાની મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો હતો.
ગુજરાતના GIFT સિટી કેમ્પસમાં ક્વીન યુનિવર્સિટી બેલફાસ્ટે 20 વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સલન્સ સ્કોલરશિપની જાહેરાત કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, આ સ્કોલરશિપ્સ એવા પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓ માટે છે, જેઓ દેશ છોડ્યા વિના યુકેના ધોરણ પ્રમાણે અભ્યાસ કરવા ઇચ્છે છે. યુનિવર્સિટીએ જણાવ્યું કે આ પહેલ ભારત-યુકે વચ્ચેના શૈક્ષણિક સહકારને મજબૂત બનાવશે અને ભારતીય વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરના કોર્સ કરવામાં સહાયક બનશે. આ સાથે જ તાજેતરમાં જાહેર કરાયેલી “20 Women in STEM Awards” બાદ ક્વીન યુનિવર્સિટીની આ નવી પહેલ “Access, Inclusion અને Excellence”ના દિશામાં અગત્યનું પગલું ગણાય છે. સ્કોલરશિપ માટે કેવી રીતે અરજી કરવીસ્ટેપ 1: ક્વીન યુનિવર્સિટી બેલફાસ્ટની ભારત માટેની વેબસાઇટ અથવા GIFT સિટી કેમ્પસ પોર્ટલ www.qub.ac.uk પર જઈને અરજી કરો.સ્ટેપ 2: યોગ્ય અનુસ્નાતક અથવા સ્નાતકોત્તર કોર્સ પસંદ કરો.સ્ટેપ 3: શૈક્ષણિક લાયકાત (ઓછામાં ઓછા 75% ગુણ સાથે) અને 300–500 શબ્દનું સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ સબમિટ કરો.સ્ટેપ 4: અંગ્રેજી ભાષામાં નિપુણતાનો પુરાવો અને ઓળખ દસ્તાવેજો અપલોડ કરો.અંતિમ તારીખ: પ્રથમ તબક્કા માટે 31 જાન્યુઆરી, 2026 અને પસંદગી કરાયેલા વિદ્યાર્થીઓની જાહેરાત માર્ચ, 2026માં થશે. યુનિવર્સિટી ડીનનો પ્રતિભાવક્વીન યુનિવર્સિટી GIFT સિટી કેમ્પસના ડીન પ્રોફેસર એમ. સતીશ કુમારએ જણાવ્યું કે, “આ સ્કોલરશિપ્સ વૈશ્વિક નેતૃત્વ અને નવીનતા માટે તૈયાર થનારા ભારતીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે. ભારત અને યુકે મળીને ટકાઉ વિકાસ, ડિજિટલ પરિવર્તન અને ઉદ્યોગસાહસિકતા જેવા ક્ષેત્રોમાં ઉકેલો લાવી શકે એ જ આ પહેલનો હેતુ છે.” NEP અંતર્ગત મોટો નિર્ણયક્વીન યુનિવર્સિટીના નવા GIFT સિટી કેમ્પસને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)માં દર્શાવેલા “ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ”ના લક્ષ્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. સ્કોલરશિપ્સ બિઝનેસ, ટેક્નોલોજી અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા લાવનારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી વિભાગ દ્વારા બૂથ પ્રમાણે BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા 122 નંબરના મમતા શિશુ વિહાર બૂથના BLO સચિનભાઈ સુથાર તેમના વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છે. આ બૂથમાં કુલ 1461 મતદારો નોંધાયેલા છે. રવિવારે, સચિનભાઈ સુથાર અષ્ટવિનાયક ગણપતિ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મતદારોને મતદાર યાદીના ફોર્મ આપ્યા હતા અને ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર સમજૂતી આપી હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિક પાલિકાના સદસ્ય અમૃત પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ પહોંચી:ગઢડામાં ભવ્ય સ્વાગત, નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા
સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા આજે બોટાદ જિલ્લામાં પ્રવેશી હતી. ગઢડા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પોતે ટ્રેક્ટર ચલાવીને યાત્રામાં સામેલ થયા હતા. તેમની સાથે લાલજી દેસાઈ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજેશ ગોહિલ, કોંગ્રેસ પ્રમુખ હિમતભાઈ કટારીયા, જગદીશભાઈ ચાવડા અને કિશોરભાઈ વેલાણી સહિતના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલું રાહત પેકેજ માત્ર 'લોલીપોપ' સમાન છે, જે ખેડૂતોની મજાક સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોને ૧ લાખ ૪૦ હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. આવા સમયે ખેડૂતોના આશીર્વાદ લેવાને બદલે સરકાર તેમની 'હાય' લઈ રહી છે. કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે. ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, જ્યાં સુધી સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે, ત્યાં સુધી કોંગ્રેસની આ લડત ચાલુ રહેશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને તેમની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે આ ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના રાહત પેકેજથી ખેડૂતોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે, અને કોંગ્રેસે સરકાર પર ખેડૂત વિરોધી નીતિઓ અપનાવવાનો આરોપ મૂક્યો છે.
બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. સરકારે ખેડૂતોના હિતમાં આ ખરીદીનો પ્રારંભ કર્યો છે. જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ચાર ખરીદી કેન્દ્રો પૈકી હાલ બે કેન્દ્રો પર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને બજારભાવ કરતાં પ્રતિ મણ રૂ. 400 વધુ ભાવ મળી રહ્યો છે. ગઢડા માર્કેટિંગ યાર્ડ અને પાળીયાદ સબયાર્ડ ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત થયા છે. ખેડૂતો તેમની મગફળી લઈને કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. બોટાદ જિલ્લામાં 9 હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલ ખેડૂતોમાંથી દરરોજ 100 ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવામાં આવશે. ખરીદી પ્રક્રિયા અંતર્ગત, દરરોજ 100 ખેડૂતોને બોલાવીને મગફળી ખરીદવામાં આવશે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 125 મણ મગફળી ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, યાર્ડના ચેરમેન સુભાષભાઈ હુંમલ, અમરશીભાઈ માણીયા, મુકેશભાઈ હિહોરીયા અને હિરાભાઈ સખપર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1452 નક્કી કર્યો છે. હાલ બજારમાં મગફળીનો ભાવ પ્રતિ મણ રૂ. 1000 થી 1100 ચાલી રહ્યો છે. આથી, ખેડૂતોને સરકાર દ્વારા પ્રતિ મણ રૂ. 400 જેટલો વધુ ભાવ મળી રહ્યો છે. મગફળી વેચવા આવેલા ખેડૂત જગજીવનભાઈ ગાગડીયા અને બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે બજારભાવ ઓછો હોવા છતાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી હોવાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે.
મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે માલ લઈને આવવા લાગ્યા છે. ગુજકોમાર્સોલ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. મોરબીના સનાળા રોડ પરના માર્કેટ યાર્ડ ખાતે મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 30 ખેડૂતોને મેસેજ મોકલીને બોલાવવામાં આવ્યા હતા, જેઓ પોતાની મગફળી લઈને વેચાણ માટે પહોંચ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદાડિયાએ જણાવ્યું હતું કે, સરકારી નીતિ-નિયમો મુજબ મગફળીનું વજન અને ભેજનું પ્રમાણ ચકાસ્યા બાદ જ ખરીદી કરવામાં આવે છે. તેમણે ખેડૂતોને ઉતાવળ ન કરવા અને સૂકી તથા સ્વચ્છ મગફળી લાવવા અપીલ કરી હતી. નાફેડના ડિરેક્ટર મગનભાઈ વડાવિયાએ માહિતી આપી હતી કે, ટંકારા તાલુકામાં 12,000, હળવદમાં 10,000, વાંકાનેરમાં 2,000 અને મોરબી તથા માળિયા તાલુકામાં 3,200 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ નોંધાયેલા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે, તેથી કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ધ ફર્ન હોટલમાં અમદાવાદના યુવકે રિસેપ્શનિસ્ટ યુવક સાથે બોલાચાલી કરીને થપ્પડ મારી દીધી હતી. રિસેપ્શનિસ્ટ યુવકે આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અકોટા પોલીસે આરોપી મિરાજ ત્રિવેદીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્રણ લોકો હોટેલમાં આવ્યા હતામૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને વડોદરા શહેરના સનફાર્મા રોડ પર રહેતા અને અકોટા વિસ્તારમાં આવેલી ધ ફર્ન હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતા 23 વર્ષીય ભવ્ય પટેલે જણાવ્યું હતું કે, હું સવારના 8 વાગ્યે મારી નોકરી પર આવ્યો હતો. હું ધ ફર્ન વડોદરા હોટલમાં આવનાર ગેસ્ટનું ચેક ઇન અને ચેક આઉટ કરવાનું તથા કેશીયરનું કામ કરું છે. તા. 07/11/2025ના રોજ રિસેપ્શન પર કૃષાંગ પટેલ હતા. તે દરમિયાન ત્રણ વ્યક્તિઓ હોટલમાં આવ્યા હતા અને તેઓએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. પિતા હસીત શાંતીલાલ ત્રિવેદી (રહે. સી/401, સકાતવેલી આવકાર હાઇટ્સ ન્યુ ચાંદખેડાની પાસે ચાંદખેડા અમદાવાદ), પુત્ર મીરાજ હસીત ત્રીવેદી, (રહે. સી/401, સકાતવેલી આવકાર હાઇટ્સ ન્યુ ચાંદખેડા ની પાસે ચાંદખેડા અમદાવાદ) અને USAના ન્યુયોર્કની નાગરિક મહિલાએ બે દિવસ માટે ચેક ઇન કર્યું હતું. ત્યારબાદ 08/11/2025ના સાંજના પાંચેક વાગ્યાની આસપાસ મીરાજ હસીતભાઈ ત્રીવેદી રિસેપ્શન પર આવ્યા હતા. મારા ફોન પર મેસેજ પણ આવ્યો છે પણ હું આ વ્યક્તિને નથી ઓળખતોમિરાજ ત્રિવેદીએ મને કહ્યું હતું કે, અમે બહાર જઇએ છીએ અને અમારા રૂમમાં કોઇએ જવુ નહી, ત્યારબાદ અમારા મેનેજર વિનયભાઇએ તેઓએ આપેલ મોબાઇલ નંબર નંબર પર કોલ કર્યો હતો. જે નંબર ઉપર ફોન કરતા કોઇ વ્યક્તિએ ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, મારા ફોન પર હોટેલ ચેક ઇનનો મેસેજ પણ આવ્યો છે અને હું આવા કોઇ વ્યક્તિને ઓળખતો નથી અને આ મારો નંબર છે. ત્યારબાદ હોટેલના મેનેજર વિનય ગોયલે ફરીથી મીરાજભાઇને કહ્યું હતું કે, તમારો પોતાનો મોબાઇલ નંબર આપો, જેથી આ મીરાજભાઈ ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યા હતા અને જોરજોરથી બોલવા લાગ્યા હતા અને મને જોરથી ઝાપટ મારી દીધી હતી, જેથી મે 112 નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવી હતી અને પોલીસ અમને અને મીરાજભાઇને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી અને હું મીરાજ ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પોલીસ સામે પણ દાદાગીરી કરી હતીપુત્ર મિરાજ ત્રિવેદી અને તેના પિતા હસીત ત્રિવેદી અમદાવાદના સરનામા પર રહેતા નથી. અગાઉ તેઓ ભાડેથી ત્યાં રહેતા હતા. અત્યારે પિતા-પુત્ર અમદાવાદ અને વડોદરાની અલગ-અલગ હોટલમાં રહે છે. હસિત ત્રિવેદી થોડા સમય માટે અમેરિકા ગયા હતા. જેથી, તેમની સાથે અમેરિકન મહિલા નાગરિક આવ્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન આરોપી મિરાજ ત્રિવેદીએ પોલીસ સામે પણ દાદાગીરી કરી હતી. ફરિયાદી ભવ્ય પટેલે જણાવ્યું હતું કે, મિરાજ ત્રિવેદી ફોટો આઈ.ડી. આપવા માટે તૈયાર નહોતો, ત્યારબાદ અમારા રજીસ્ટર માટે તેનો ફોટો પાડવાની પણ ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને મને થપ્પડ મારી દીધી હતી. જેથી, મેં પોલીસને બોલાવી હતી. ત્યારબાદ પોલીસને પકડીને લઈ ગઈ હતી. અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી વી બલદાણીયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતા અમારી ટીમ હોટલમાં પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પહેલા પતિએ લગ્નેતર સંબંધો તોડી છુટાછેડા આપી દીધા હતા. પતિએ મહિલા પાસેથી પુત્રીને પણ પોતાની પાસે રાખી હતી. જે બાદ મહિલા નીર્ધાર બનતા પોતાના પિયરમાં માતા-પિતા કોઈ જ ન હોવાથી તે પોતાના મોસાળમાં જઈ ભાડેથી ઘર રાખી રહેવા લાગી હતી. ત્યાં મોસાળમાં આવેલા તે ગામના ભાણેજ એવા પ્રજ્ઞાચક્ષુ યુવક સાથે તેને પરિચય થતા બન્નેનો પરિચય જોત જોતામાં પ્રેમમાં પરિણમ્યો હતો. જે બાદ બન્ને પ્રેમી-પંખીડાએ પ્રેમલગ્ન કરી પોતાના નવા દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. જોકે, આ પ્રેમલગ્ન મહિલાએ પ્રજ્ઞાચક્ષુની સંપત્તિ લૂંટવા કર્યા હોવાની શંકા કરી સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. સમાધાન કરવાના બહાને નજીકની કોર્ટમાં લઈ ગયાંસાસરિયાઓએ ત્રાસ આપતા લગ્નના 1 મહિના સુધી બન્ને પ્રેમી પંખીડાઓ વિખૂટા રહ્યા હતા. ત્યાં એક દિવસ સાસરિયાઓએ મહિલા અને તેના પ્રજ્ઞાચક્ષુ પતિને સામાજિક સમાધાન કરવાના બહાને નજીકની કોર્ટ કચેરીમાં બોલાવતા મહિલાને સાસરિયાઓએ કોઈ તરકટ રચ્યું હોવાની શંકા ગઈ હતી. જેથી તેને મહિલા હેલ્પ લાઇન 181 પર કોલ કરી મદદ માંગતા અભિયમની ટીમ મદદ માટે દોડી આવી હતી. 181ની ટીમે મહિલાની મરજી વિરુદ્ધ છુટાછેડાની પ્રક્રિયા અટકાવીઅભિયમની ટીમે મહિલા પાસે જઈ જોતા તેના સાસરિયાઓ દ્વારા તેના પર દબાણ કરી છુટાછેડા કરાવવા પ્રયાસ કરાતો હતો. જેથી 181ની ટીમે મહિલાની મરજી વિરુદ્ધ દબાણપૂર્વક કરાતા છુટાછેડાની પ્રક્રિયા અટકાવી હતી. જે બાદ મહિલા તેના પતિ અને સાસરિયાઓના પ્રશ્નો અંગે ચર્ચા કરતા મહિલા અને તેના પ્રજ્ઞાચક્ષુ પતિને એકબીજા સાથે દાંપત્ય જીવન જીવવું હોવા છતાં તેમના સ્વજનો દ્વારા મહિલાએ સંપત્તિ પડાવવા આ લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવી તેમને હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆત સામે આવી હતી. નજીકના પોલીસ મથકે સાસરિયાઓના ત્રાસની અરજી આપીજેથી 181ની ટીમે મહિલાના સાસરિયાઓને તે નવદંપતીને હેરાન પરેશાન ન કરવા અને કાયદા વિરુદ્ધ તેમના પર દબાણ કરી છુટાછેડા ન કરાવવા સમજાવવામાં આવ્યા હતા. જેથી કાયદાનો પાઠ ભણ્યા બાદ સાંસરિયાઓએ મહિલાને પરેશાન ન કરવાની ખાતરી આપી સમાધાન કર્યું હતું. જોકે, તે બાદ પણ મહિલાને તેના માથાભારે સાસરિયાઓ તેમના પર હુમલો કે કોઈ ખોટી હરક્ત કરે તેવો ભય હોવાથી 181ની ટીમે તેને પોતાના અધિકાર માટે કાયદાકીય મદદ મેળવવા PBSC, પોલીસ સ્ટેશન અને મહિલા હેલ્પલાઈન સહિતની સમજ આપી માર્ગદર્શન કર્યું હતું. જે બાદ મહિલાએ પોલીસની મદદ લેવા ઈચ્છા જતાવતા ટીમે તેની સાથે જઈ તેના નજીકના પોલીસ મથકે સાસરિયાઓના ત્રાસ અને તેમનાથી ભય હોવા અંગેની અરજી આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાન અને અનેક વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વર્ગસ્થ પ્રવિણસિંહ જાડેજાના પ્રેરણાદાયી જીવન પર લખાયેલ પુસ્તક 'વિરલ વ્યક્તિત્વ'નું વિમોચન આજે એક ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી સામાજિક, રાજકીય, અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વ. પ્રવિણસિંહ જાડેજાના જીવન અને કાર્યોને યાદ કરીને ભાવાંજલિ આપી હતી. આ પ્રસંગે રાજકોટના રાજા માંધાતાસિંહજી જાડેજાએ પ્રવિણસિંહ જાડેજાના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે, પ્રવિણસિંહ જાડેજાનું વ્યક્તિત્વ ખરેખર તેમના પુસ્તકના શીર્ષકને અનુરૂપ વિરલ હતું. શિક્ષણ અને યુવા ઘડતર માટેનું તેમનું સમર્પણ પ્રશંસનીય હતું. તેમનો જીવન સંદેશ અને માર્ગદર્શન આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. તેમણે વિદ્યાર્થીઓમાં માત્ર જ્ઞાન નહીં, પણ સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કર્યું હતું, જે ક્ષત્રિય ધર્મનું સાચું પાલન છે. પ્રવીણસિંહજી ઉમેદસિંહજી જાડેજા પ્રસન્નતા, ઉત્તમતા અને જાગરૂકતાનો અખંડ સરવાળો છે. તેના નામ પરથી જ તેમનું વ્યક્તિત્વ ઉપરાંત તેમના અનૂઠાપણની આગવી ઓળખ આપણને પ્રાપ્ત થાય છે. આદરણીય પ્રવીણસિંહજી સાહેબે પોતાનું પૂરું જીવન હરભમજી રાજ ગરાસિયા છાત્રાલયમાં સમર્પિત કર્યું છે. એટલું જ નહીં, પરંતુ તેમણે નિષ્ઠા અને જાગૃતિ સાથે સેવા કાર્યના સમર્થ સાકાર સાધક તરીકે તેમજ સહજતા, સરળતા, સમર્પિતતા, સંકલ્પબદ્ધતા અને કોઈ અપેક્ષા વગરની સેવા કાર્યના એક સમર્થ પાર્થી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રવીણસિંહજી સાહેબ એક ધ્રુવ તારક સ્વરૂપે આપણા સૌના ચિદાકાશમાં અંકિત થયા છે. તેઓ સર્વસમાજને પોતાનું મંદિર માનતા હતા, અને અદમ્ય સ્નેહ તથા અપાર સ્નેહ તેમની શક્તિ હતી.આગળ વાત કરતાં તેમણે કહ્યું કે પ્રવીણસિંહજી સાહેબ માટે કઠોર પરિશ્રમ એ તેમનું કર્તવ્ય હતું અને પરમાર્થ જ તેમનું જીવન હતું. તેમના ચહેરા પર હંમેશા નિર્મળ હાસ્ય અને વાણીમાં વિનમ્રતા જોવા મળતી. તેમની અદ્વિતીય સેવાકીય સુવાસ હતી, જે 'હું નહીં, પરંતુ તું જ તું'ની સંકલ્પના સાથે જોડાયેલી હતી. રાજકોટનાં રાજા માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે, સત્ય, નૈતિકતા, વિનમ્રતા અને એક વિચારોની અંદર એક રેવોલ્યુશન જે રીતે ગુણોનું પ્રકટીકરણ બાળકોની અંદર પોતે કરી શક્યા છે, એને ભૂલી શકાતું નથી. અને આ એકમાત્ર આ ગ્રંથ વિમોચન માટેનો અવસર નથી, પરંતુ વિરલ વ્યક્તિત્વની વંદનાનો અવસર છે. આજે સેવા, કર્મના એક ભેખધારીની ગુણાનુવાદનો એક આ અવસર છે, અને જે આપણે માણીએ છીએ. અને વિનમ્રતા, વિશ્વસનીયતા અને સંવેદનશીલતાના પથિક તરીકેની એક પ્રેરક રસધારમાં ભીંજાવવાનો આ અવસર છે. ઉલ્લેખનીય છે કે 'વિરલ વ્યક્તિત્વ' નામના આ પુસ્તક વિમોચન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ સહિત સૌરાષ્ટ્રના સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ ક્ષત્રિય સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આર્ષ વિદ્યામંદિરનાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતી ખાસ હાજર રહ્યા હતા. અને સ્વ. પ્રવિણસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. સાથે જ ક્ષત્રિય સમાજને નવો રાહ ચીંધવા માટે આ પુસ્તકનું મહત્વ પણ સમજાવ્યું હતું.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બનાવટી દસ્તાવેજોના આધારે કુલ 344.27 વીઘા સરકારી જમીન પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે હળવદના મામલતદારે બે મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ બનાવટી સહી સિક્કાના આધારે જમીન પોતાના નામે કરી હતી. કયા ગામોની જમીન?કૌભાંડ આચરનારા આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોની વિવિધ સર્વે નંબરવાળી સરકારી જમીનને ગેરકાયદેસર રીતે પોતાના નામે કરાવી લીધી હતી. કોણે અને ક્યાં નોંધાવી ફરિયાદ?હળવદના મામલતદાર અલ્કેશ ભટ્ટ (ઉં.વ.55) એ આ સમગ્ર કૌભાંડ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. કયા નવ આરોપીઓ સામે ગુનો? કેવી રીતે આચરાયું કાવતરું?ફરિયાદ મુજબ, આરોપીઓએ 26 માર્ચ 2016થી 17 જુલાઈ 2020 દરમિયાન આયોજનબદ્ધ કાવતરું રચ્યું હતું. તેમણે સરકારી કચેરીઓના હોદ્દેદારોના બનાવટી રબર સ્ટેમ્પ બનાવ્યા અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો. સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ કરી. ખોટા હુકમો તૈયાર કર્યા. આ બનાવટી દસ્તાવેજોના આધારે ત્રણેય ગામોની કુલ 344.27 વીઘા સરકારી જમીનની નોંધણી સરકારી કચેરીના રેકોર્ડમાં પોતાના નામે કરાવી લઈને આચરણ કર્યું હતું. કઈ કલમો હેઠળ ગુનો?પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 465 (ખોટા દસ્તાવેજો બનાવવા), 467 (કિંમતી જામીનગીરીની બનાવટ), 468 (છેતરપિંડીના હેતુથી બનાવટ), 471 (બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ), 472 (બનાવટ કરવા માટે સ્ટેમ્પ કે સાધનનો કબજો), 120 (બી) (ગુનાહિત કાવતરું) અને 34 (સમાન ઈરાદો) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ. અંબારિયા ચલાવી રહ્યા છે.
સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી મહાલય બંગ્લોઝ 2ના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીમાં ઉગાવેલું અતિ દુર્લભ સિંદૂરનું વૃક્ષ સોસાયટીના જ એક સભ્યએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર કાપી નાખ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે સોસાયટીના રહીશોની લાગણી દુભાતા સિંદૂરના વૃક્ષનું બેસણું યોજ્યું હતું. જેમાં સોસાયટીના રહીશો સહિત વૃક્ષ પ્રેમીઓએ પણ હાજર રહ્યા હતા. સિંદૂરનું વૃક્ષ કાપવામાં આવતા સોસાયટીના રહીશોએ બે મિનિટનું મૌન રાખી અને હનુમાન ચાલીસા બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સિંદૂરનું વૃક્ષ કાપનાર સોસાયટીના સભ્યએ ઘોર અપરાધ કર્યો હોવાનો અન્ય લોકોએ આક્ષેપ કર્યો છે. સિંદૂરનું ઝાડ હોવાથી હનુમાન ચાલીસા કરી બે મિનિટનું મૌન રાખ્યું હતુંમહાલય બંગ્લોઝ-2ના રહેવાશી કૃનીલ ભટ્ટે જણાવ્યું હતું કે, 2018માં સિંદૂરનું એક હેરિટેજ ઝાડ વાવ્યું હતું. ઝાડ પર સિંદુર આવવા લાગ્યા હતા, જે અમે રામ મંદિર પણ મોકલ્યા હતા. ઓપરેશન સિંદૂર પછી ઝાડની ડિમાન્ડ વધતા લોકો કહેતા હતા કે, વાહ તમારે ત્યાં સિંદૂરનું વૃક્ષ છે. 7 તારીખે સોસાયટીના એક રહિશે માળીને ધમકી આપી ઝાડ કપાવી નાખ્યું. જે બાદ કોર્પોરેશનમાં CCTV આપીને ફરિયાદ કરી છે. વૃક્ષ સાથે અમારી વેદના જોડાયેલી હતી. જેથી સિંદૂરનું ઝાડ હોવાથી હનુમાન ચાલીસા કરી બે મિનિટનું મૌન રાખ્યું હતું. જો વૃક્ષ પ્રત્યે આપણે સંવેદના દાખવે તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી બચી શકીએ છીએ.
રાજકોટ શહેરમાં વ્યાજના વિષચક્રમાં વધુ એક પરિવાર ફસાયો છે. શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 10 કરોડ માંગી પઠાણી ઉઘરાણી કરવામાં આવતા અંતે તેના ત્રાસથી કંટાળી યુવાન ઘર મૂકી લાપતા થઈ ગયો છે. દરમિયાન વ્યાજખોર વિજય મકવાણા અને તેના માણસો દ્વારા યુવકને આપેલા રૂપિયાની ઉઘરાણી બાબતનો ખાર રાખી તેના ભાઈ કે જેઓ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. તમેજ ભાઈને લુપ્ત કરી નાખ્યો છે અને રૂપિયા આપવા પડશે તેમ કહી નાસી છૂટ્યા હતા. જે ઘટનામાં રાજકોટ ગ્રામ્યની મેટોડા GIDC પોલીસે મુખ્ય આરોપી વિજય મકવાણા, દિલીપ રાઠોડ સહિત 5 શખસની ધરપકડ કરી લીધી છે. પોલીસે ફરિયાદના આધારે પાંચની ધરપકડ કરીરાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાએ જણાવ્યુ હતુ કે, 6 નવેમ્બરના ફરિયાદી દિલીપભાઈ આઈ ટ્વેન્ટી કાર લઈ વીરડા વાજડીના ગેટ પાસે આવતા 3 અજાણ્યા શખસે દિલીપભાઈની કારના કાચ ફોડી નાખ્યા હતાં. દિલીપભાઈને બહાર કાઢી મારતા મારતા કહ્યું હતું કે, તારા ભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે. તેમ કહી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી છે. જે ઘટના મામલે મેટોડા પોલીસ મથકમાં BNS કલમ 109 મુજબ FIR દાખલ કરવામાં આવેલી છે. જેથી આ ગુનાના આરોપી રાજકોટના વિજય નારાયણ મકવાણા અને 4 અજાણ્યા શખ્સો સામેલ હોવાથી 5 શખસની અટકાયત કરવામાં આવી છે. IG અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય SP વિજયકુમાર ગુર્જરની સૂચનાથી આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. વિજય સામે આઠ ગુના, વિશાલ હજુ ફરારઆરોપી વિજય સામે અલગ-અલગ 8 FIR નોંધાયેલી છે, જેમાં રાજકોટ, ધ્રોલ અને આટકોટમાં મારામારી, ધાડ, આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. હજુ વિશાલ ગુમ છે, ત્યારે તે સામે આવ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલા રૂપિયાની લેતીદેતી હતી. દીકરાએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી આરોપી અમને હેરાન કરે છેઃ વિનુભાઈ રાજકોટના રહેવાસી વિનુભાઈ વીરડાએ જણાવ્યું હતું કે, મારા દીકરા વિશાલે વિજય મકવાણા અને તેના ભાઈ ભાવેશ મકવાણા પાસે રૂ.1 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની અમને જાણ પણ ન હતી. અચાનક તે એક ચિઠ્ઠી લખી ઘર મૂકીને જતો રહ્યો છે. જે ચિઠ્ઠીમાં તેને લખ્યું છે કે, હું ઘર છોડીને જાવ છું. વ્યાજવાળા લોકો મને જીવવા નહિ દે. ભાઈ-ભાભી, બા-બાપુ સહિતના પરિવારનું સંતાનોનું ધ્યાન રાખજો. મેં વિજય મકવાણા પાસેથી અને અન્ય લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા છે. વિજય મકવાણા પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા, જેની સામે 40% વ્યાજ વસુલતા હતા. મેં રૂ.1 કરોડ સામે 55 લાખ જેટલી રકમ પરત આપી દીધી હોવા છતાં વધુ રૂ. 2.39 કરોડની માંગણી કરતા હતાં. બાદમાં વ્યાજનું વ્યાજ અને મૂળ રકમ સહિત 10 કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. અમારી પાસે આટલા રૂપિયા છે પણ નહિ તો અમે કેવી રીતે આપીએ. દીકરાએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વિજય મકવાણા અને ભાવેશ મકવાણા અમને હેરાન કરી રહ્યા છે. રેવન્યુ તલાટી ભાઈને રોકી મારમાર્યોયુવાનના ભાઈ દિલીપભાઈ વીરડા કે, જેઓ કાલાવડ તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમને 6 નવેમ્બરના રોજ નોકરીથી પરત આવતા સમયે વાજડી ગામ નજીક અજાણ્યા શખ્સોએ અટકાવી વિશાલ ક્યાં છે? તે જ તેને ગુમ કરી દીધો છે, રૂપિયા તો આપવા જ પડશે. અમે વિજયભાઈના માણસો છીએ, કહી બેફામ માર માર્યો હતો, જેના કારણે હાથ તથા પગમાં ઈજાઓ પહોંચતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે હાલ સારવાર હેઠળ છે અને તેમણે પણ સમગ્ર મામલે પોલીસ વિજય મકવાણા અને અજાણ્યા માણસો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. મારે વિશાલના પરિવાર સાથે કોઈ દુશ્મની નથીઃ ભાવેશ મકવાણાબીજું બાજુ ભાવેશ મકવાણાએ વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે, હું એક સિંગર છું. વિશાલ વીરડા મારો નાનપણનો ખુબ સારો મિત્ર છે. મેં કોઈ પઠાણી ઉઘરાણી કરી નથી. વિશાલ વીરડાએ મને જુદા-જુદા બહાના આપી મારી પાસેથી અને મારા મોટાભાઈ વિજય મકવાણા પાસેથી રૂપિયા લીધા છે જે પરત આપ્યા નથી. મારા ઉપરાંત વિશાલે અનેક લોકો પાસેથી રૂપિયા લીધેલા છે, જેઓને પણ તેને પરત આપ્યા નથી. મારે વિશાલના પરિવાર સાથે કોઈ દુશ્મની નથી.
ભુજ શહેરના કોડકી રોડ પરની એક હોટલ પાછળની ઝાડીઓમાંથી બે માસની એક બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે. ઘટનાની જાણ થતા જ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકીને હસ્તગત કરી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ઘોડિયાઘર ખાતે ખસેડી છે. પોલીસ સૂત્રો અનુસાર, આજે સવારે કોડકી રોડ પર આવેલી એક હોટલના સંચાલકને ઝાડીઓમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તેમણે તપાસ કરતા કપડામાં લપેટેલી બે માસની બાળકી રડતી હાલતમાં મળી હતી. સંચાલકે તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકીને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્યા કારણોસર બાળકીને ત્યજી દેવામાં આવી છે? તેને લઈને પીઆઈ એ.જે. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, જો કોઈને આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે. બાળકી હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પ્લાસ્ટિકના એરબબલ શીટના રોલની આડમાં છુપાવીને ટ્રક (કન્ટેનર)માં લઈ જવાતો વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થાની કુલ કિંમત રૂ. 57,99,744 આંકવામાં આવી છે. આ મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની બાતમી મળતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સિસોદીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સંયુક્ત બાતમી મળી કે અશોક લેલેન્ડ કન્ટેનર ટ્રકમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલો છે અને તે આસોજ ગામ પસાર કરી જરોદ થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે ટીમે હાલોલ-વડોદરા રોડ પર લીલોરા ગામના કટ સામે ટ્રકને કોર્ડન કરી રોક્યો હતો. ટ્રકમાં તપાસ કરતાં ડ્રાઇવર નંદરામ નાનકીયા ભુરીયા (રહે. મકાન નં. 192, ગામ ભીચોલી મર્દાના, દેવાસ રોડ, ઇન્દોર, મધ્યપ્રદેશ) એકલો મળી આવ્યો હતો. તેણે જણાવ્યું કે ટ્રકમાં પ્લાસ્ટિક એરબબલ શીટના રોલ સાથે વિદેશી દારૂ ભરેલો છે. પાછળના દરવાજા ખોલી તપાસમાં પ્લાસ્ટિકના રોલ હટાવતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 502 પેટી, પ્લાસ્ટિક એરબબલ 50 રોલ, મોબાઇલ અને ટ્રક મળીને કુલ રૂપિયા 68,44,744 નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે બઢતીનો પ્રશ્ન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ખામીયુક્ત કેડર મેનેજમેન્ટના કારણે 1000થી વધુ કર્મચારીઓને 25થી 30 વર્ષની સેવા બાદ પણ એકપણ બઢતી લીધા વિના નિવૃત્ત થવાની ફરજ પડશે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. DySOને પગાર તો વધશે, પણ હોદ્દો નહીંમાહિતી મુજબ, આશરે 1400 જેટલા નાયબ સેક્શન અધિકારીઓ (DySO) વર્ષ 2031-32 સુધીમાં સેક્શન અધિકારીનું પગાર ધોરણ લેતા હશે, પરંતુ તેઓની કામગીરી DySO તરીકે જ રહેશે. એટલે કે, પગારમાં વધારો છતાં પદ અને જવાબદારીમાં કોઈ ફેરફાર નહીં થાય. એસોસિએશનનું કહેવું છે કે, આ કેડર મેનેજમેન્ટની ખામીના કારણે અનુભવી કર્મચારીઓની કુશળતા અને સેવા બંનેનો યોગ્ય ઉપયોગ થતો નથી. વારંવાર રજૂઆતો છતાં સરકારનું મૌનએસોસિએશન દ્વારા 1 જુલાઈ 2021, 2 ફેબ્રુઆરી 2022, 7 ફેબ્રુઆરી 2024, 24 જુલાઈ 2024 અને તાજેતરમાં 8 ઑગસ્ટ 2025ના રોજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ, સરકાર તરફથી એક પણ રજૂઆતનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. એસોસિએશનનું કહેવું છે કે, જો રજૂઆત મુજબ રેશિયો સુધારવામાં આવે તો અનુભવી DySOને બઢતીની તકો મળે, સરકારને નીતિ ઘડતર જેવી કામગીરીમાં લાભ થાય અને નાણાકીય બોજ પણ ઘટે. અન્ય વિભાગોમાં સુધારણા, સચિવાલય માટે ‘ઓરમાયુ’ વલણએસોસિએશનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ મામલતદાર, PI, SO, PSI, ASI, સિનિયર કારકુન જેવા અનેક સંવર્ગોમાં સીધી ભરતીનું પ્રમાણ ઘટાડી અથવા રદ કરી યોગ્ય કેડર મેનેજમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સામાન્ય વહીવટ વિભાગે પોતાના વિભાગમાં આ પ્રકારની સમીક્ષા જ કરી નથી. પરિણામે સચિવાલયના DySO સહિત પાયાના કર્મચારીઓ માટે બઢતીની તકો પૂરી રીતે અટકાઈ ગઈ છે. આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવા સુધીની ચિમકીસતત અવગણના અને ઉદાસીન વલણના કારણે હવે કર્મચારીઓમાં હતાશા ફેલાઈ છે. જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય, તો તેઓ નાછુટકે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવા સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. એસોસિએશનની મુખ્ય માંગણીઓ : એસોસિએશનનું માનવું છે કે જો રેશિયો સુધારી યોગ્ય બઢતીની વ્યવસ્થા કરવામાં આવે, તો અનુભવી માનવબળનો ઉપયોગ થઈ શકશે, નીતિ ઘડતર જેવી મહત્વની કામગીરીમાં ગુણવત્તા વધશે અને સરકાર પર વધારાનો નાણાકીય બોજ પણ ટાળવામાં આવશે.
પારડી તાલુકાના ડુંગરી ગામે નાણામંત્રી અને ધારાસભ્ય કનુ દેસાઈની મુખ્ય હાજરીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડી તાલુકા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત ડુંગરી બેઠક પર કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ડુંગરી ગ્રામ પંચાયતના નવા મકાનના નિર્માણ માટે ખાતમુરત વિધિ સંપન્ન થઈ હતી. આ ઉપરાંત, આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે ગામના આરોગ્ય સુવિધાઓમાં વધારો કરશે. આ અવસરે નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ દરેક ગામનો સર્વાંગી વિકાસ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણામાં આરોગ્ય, વીજળી, પાણી, શિક્ષણ અને માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ બની છે. ડુંગરી ગામ માટે છેલ્લા ચાર વર્ષમાં આશરે ₹13 કરોડની ગ્રાન્ટ ફાળવી અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા છે. ગામના સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગામમાં રસ્તા, ગટર, તળાવ વિકાસ, સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ જેવી સુવિધાઓના કારણે ગામના ચહેરામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ, વિવિધ સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ફરીથી નાણામંત્રી બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શંકરભાઈ પટેલે કરી હતી.
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક પરપ્રાંતીય યુવાનના બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂપિયા 2.05 લાખની રોકડ રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના મેઘપર-પડાણા નજીક સ્વામિનારાયણ રેસીડેન્સીમાં બની હતી. મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ મેઘપરમાં ભાડેથી રહેતા ભોળાનાથ સુખમય ડે નામના યુવાને પોતાના મકાનમાં સ્ટીલની પેટીમાં રૂપિયા 2,05,000 રોકડા રાખ્યા હતા. તેઓ કામ અર્થે બહાર ગયા હતા. ગઈકાલે સવારે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના રૂમમાં પ્રવેશ કરી આ રોકડ રકમ ચોરી લીધી હતી. આ બનાવ અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ એ.જી. જાડેજા પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદ પણ લેવામાં આવી રહી છે.
ભારતીય સૈન્યની કોનાર્ક કોર્પ્સ અને ગુજરાત સરકાર વચ્ચે નાગરિક-સૈન્ય સમન્વયને વધુ મજબૂત બનાવવા માટે 8 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સચિવાલય ખાતે નાગરિક-સૈન્ય મિલન સંમેલન યોજાયું હતું. ‘હર કામ દેશ કે નામ’ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષા, સંકલન અને નીતિગત નિર્ણય પ્રક્રિયામાં સહકાર વધારવાનો હતો. ભારતીય સૈન્ય અને રાજ્ય સરકાર વચ્ચે નાગરિક-સૈન્ય મિલનઆ સંમેલનની અધ્યક્ષતા ભારતીય સૈન્યના 11 રેપિડ (એચ)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગા અને રાજ્ય ગૃહ વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક તથા અગ્ર સચિવ નિપુણા તોરવણે સંયુક્ત રીતે કરી હતી. સંમેલનમાં સુરક્ષા વ્યવસ્થાઓ, CBRN તૈયારી, સૈનિક અને માજી સૈનિક કલ્યાણ, તેમજ સેવારત સૈનિકોને પડતી પ્રશાસન સંબંધિત મુશ્કેલીઓ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. રક્ષા, સહકાર અને સંકલન પર કેન્દ્રિત ચર્ચાઆ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ, નર્મદા જળ સંસાધન અને જળ પુરવઠા, મહેસૂલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ, બંદરો અને વાહનવ્યવહાર, ઉદ્યોગ, ખાણ, આરોગ્ય, શહેરી વિકાસ, નાણા, માર્ગ અને મકાન, કાયદા, ગૃહ, તેમજ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નિગમ સહિતના વિભાગોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાગરિક પ્રશાસન અને સૈન્ય દળો વચ્ચે સંવાદ કાર્યક્રમના અંતે નાગરિક પ્રશાસન અને સૈન્ય દળો વચ્ચે સંવાદ અને સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. આ સંમેલન રાષ્ટ્રનિર્માણ માટે નાગરિક અને સૈન્ય સંગઠનોની સંયુક્ત શક્તિ અને પ્રતિબદ્ધતાનો ઉત્કૃષ્ટ દાખલો પુરવાર થયું હતું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઐતિહાસિક કૃષિ રાહત પેકેજને આવકાર્યું છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. કુદરતી આફતો અને અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાનના કપરા સમયે રાજ્ય સરકારે તત્કાળ આ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ નિર્ણય ખેડૂતલક્ષી સંવેદનશીલતા દર્શાવે છે અને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે. આ પેકેજ લાખો ખેડૂત પરિવારોને નવી આશા અને હિંમત આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારે વિપરીત પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ટેકો આપ્યો છે. મુખ્યમંત્રી પોતે ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓએ પણ વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોની મુલાકાત લીધી હતી. આ રજૂઆતોના પરિણામે, રાજ્ય સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂ. 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાવી છે. ખેડૂતોને આપત્તિમાંથી બહાર લાવવા અને નવા પાક લેવામાં મદદરૂપ થવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ સહાય પેકેજ હેઠળ, હેક્ટર દીઠ રૂ. 22,000ની સહાય આપવાનું નક્કી કરાયું છે. આ સહાય પિયત કે બિનપિયત જમીનના ભેદભાવ વગર, તમામ ખેડૂતોને બે હેક્ટર સુધી મળવાપાત્ર છે. આ નિર્ણયથી એક ખેડૂતને મહત્તમ રૂ. 44,000ની સહાય મળશે. સુરેન્દ્રનગર જિલ્લા વિશે વાત કરતા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર ખેતીપ્રધાન જિલ્લો છે. આ સહાય પેકેજનો લાભ જિલ્લાના બે લાખથી વધુ ખાતેદાર ખેડૂતોને મળશે. આ ઉપરાંત, રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે, જે આવકાર્ય છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે નાથદ્વારામાં આધુનિક “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તેમણે શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન પણ આપ્યું હતું. આ નવા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને અન્ય ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસ પૂરો પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ, તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે. આ પવિત્ર પહેલને ગુરુ વિશાલબાવાની દિવ્ય પ્રેરણા અને અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાથદ્વારા પધારતા દરેક ભક્તને સેવા અને ભક્તિનાં મૂલ્યો જાળવતી સંયોજિત, કરુણાસભર અને માનસભર સેવા પ્રાપ્ત કરવાનો છે. આ પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.આ શુભ પ્રસંગે મુકેશ અંબાણીએ ગુરુ વિશાલબાવા ને વિનંતી કરી હતી કે, સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન પુષ્ટિમાર્ગની પવિત્રતા અને ગૌરવ સર્વોપરી રહે તે સુનિશ્ચિત કરાય. તેમણે જણાવ્યું હતું કે, “આપણને વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ — જે સનાતન હિંદુ ધર્મ અને આચાર્ય પરંપરાનું અનુસરણ કરે છે. ”શ્રી વિશાલબાવા સાહેબે પણ શ્રી અનંત અંબાણીની દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલ 'વનતારા'ની પ્રશંસા કરતાં તેને અદ્ભુત, અનન્ય અને વિશ્વભરમાં પ્રશંસા પામેલા સર્જન તરીકે વર્ણવ્યું હતું. ભગવાન શ્રીનાથજીની દિવ્ય કૃપા અને તિલકાયત પરિવારના પવિત્ર માર્ગદર્શન હેઠળ, “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન” ભક્તિમાર્ગના તેજસ્વી પ્રતિક તરીકે ઉભરી આવશે. તે નાથદ્વારામાં કરુણા અને સેવાના શાશ્વત મૂલ્યોને સમર્પિત એક દ્રષ્ટિવંત સીમાસ્તંભ સાબિત થશે.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના હિન્દુ સંગઠને આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રાજમહેલ મોલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાને લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોએ પર્દાફાશ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતાં. અંગેની જાણ થતા ધારાસભ્ય પણ દોડી આવ્યા હતાં. પોલીસે ચાર લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલમાં મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે. ધર્મ પરિવર્તન કરાવનારાને 20થી 25 હજાર રૂપિયાં અપાતાનો આક્ષેપહિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે, ધર્મ પરિવર્તન કરાવનાર લોકો આર્થિક લાલચ આપી લોકોને પોતાના ધર્મમાં જોડતા હતાં. ધર્મ પરિવર્તન કરાવનારાને 20થી 25 હજાર રૂપિયાં સુધી આપવામાં આવતા હતાં અને જે વ્યક્તિ બીજાને જોડે તે માટે પ્રતિ વ્યક્તિ 5 હજાર રૂપિયાની એજન્ટ ફી આપવામાં આવતી હતી. આર્થિક પ્રલોભનને કારણે ઘણા મધ્યમ વર્ગના પરિવારો આ જાળમાં ફસાઈ રહ્યા હતાં. હિન્દુ સંગઠને સ્થળ પર પહોંચી ઘણા લોકોને રંગે ઝડપ્યામાહિતી મુજબ, ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા હતાં. કહેવાય છે ,કે આ પ્રવૃત્તિ છેલ્લા બેથી ત્રણ મહિનાથી સતત ચાલી રહી હતી. રાત્રે હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચી ઘણા લોકોને રંગે હાથ પકડી લીધાં. જાણ થતા જ ડિંડોલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો રાજમહેલ મોલની બહાર એકઠા થઈ ગયા અને “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા. મામલો માફીનામા સાથે સમાપ્ત કરાયોહાલમાં મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ ધારાસભ્ય મનુ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી સામે આવશે, તો હિન્દુ સમાજ પોતાની સંસ્કૃતિની રક્ષા માટે કડક વલણ અપનાવશે. સંબંધિત લોકોની પૂછપરછઘટનાની માહિતી મળતા જ ઉધના વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. હાલ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત લોકો પાસેથી પૂછપરછ ચાલી રહી છે. સુરતમાં સામે આવેલા આ ધર્મ પરિવર્તનના મામલાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થા અને ધાર્મિક સૌહાર્દ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસો થાય છે. 'આ રાષ્ટ્રવિરોધી કામને ક્યારેય પણ અમે સાંખી લેતા નથી'ધારાસભ્ય મનુ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે. કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમણમાં ખેંચવાની કોશિશો કરે છે. પણ આ રાષ્ટ્રવિરોધી આ રાષ્ટ્રવિરોધી કામને ક્યારેય પણ અમે સાંખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે, અમારું જે યુવા ધન છે આ યુવા ધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની અંદર લઈ જાય છે. એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં કારણ કે આપણા રાષ્ટ્ર છે, ભારત માતાનો મામલો છે, આપણા સૌના હિતનો મામલો છે, અને આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જ્યારે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, જ્યારે સુરતની અંદર જ્યારે ઊભી થાય છે, એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે. 'આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું'એ લોકો ગઈકાલે અમે પાંચ-છ વ્યક્તિઓ, સાત-આઠ વ્યક્તિમાં બે વ્યક્તિ જતા રહ્યા છે, પણ એમાં પાંચ વ્યક્તિઓને અમે પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર, એની પત્ની, એની સાથેના એક વ્યક્તિ અને બાકીના પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવાવાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે. આ લોકોને સમજાવીને, એમાં એક રાઠોડ પરિવારનો દીકરો હતો, એક મરાઠી પરિવારનો દીકરો હતો, અને એક ઉત્તર ભારતીય પરિવારનો દીકરો હતો. આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું. એમને ભગવાન શ્રી રામ શું છે, ભગવાન શ્રી કૃષ્ણ શું છે, આપણી ગીતા શું છે, આપણો આપણો ધર્મ શું છે, આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે.
રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આનાથી રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી શકશે, જેનું ગાંધીનગર કમાન્ડ સેન્ટરથી દરેક કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ ખરીદીનો પ્રારંભ કર્યો હતો અને સ્થળ પર જઈ સમગ્ર પ્રક્રિયાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ગાંધીનગર કમાન્ડ સેન્ટરથી દરેક કેન્દ્રો પર ચાંપતી નજર આ ખરીદીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે ચાલે તે માટે રાજ્ય સરકારે અદ્યતન વ્યવસ્થા ગોઠવી છે. ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક્ટિવ કરવામાં આવ્યું છે. જ્યાંથી રાજ્યભરના તમામ ખરીદી સેન્ટરોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા દ્વારા કોઈ પણ સેન્ટર પર થતી ગેરરીતિ કે વિલંબ પર તત્કાળ નજર રાખી શકાશે અને તેનું નિરાકરણ લાવી શકાશે. દહેગામથી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી શરૂઆતગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ ખરીદીનો પ્રારંભ કર્યો હતો અને સ્થળ પર જઈ સમગ્ર પ્રક્રિયાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. સરકારના નિર્ણય મુજબ ખેડૂતો પાસેથી રૂ. 15,000 કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી હાથ ધરવામાં આવી રહી છે. ટેકાના ભાવે શરૂ થયેલી આ ખરીદીથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. આ પ્રસંગે કૃષિમંત્રીએ ખેડૂતો સાથે સહજ સંવાદ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે ટેકાના ભાવે ખરીદી એક મોટું પગલું છે. ખેડૂતો પણ સરકારે બજાર કરતાં વધુ ભાવે ખરીદી શરૂ કરવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. મગફળીનો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,263 તેમણે જણાવ્યું કે, હાલ બજારમાં મગફળીનો ભાવ આશરે રૂ. 5,000 પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે ટેકાનો ભાવ રૂ. 7,263 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે ખેડૂતોને દર ક્વિન્ટલ દીઠ રૂ. 2,263 જેટલો વધુ લાભ મળી રહ્યો છે. આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટીના ચેરમેન ધનવંતસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને સંગ્રહ અને વેચાણની ચિંતામાંથી મુક્તિઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અગાઉ આ ખરીદી પ્રક્રિયા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ બજારના ભાવો નીચા હોય તેવા સંજોગોમાં પણ ખેડૂતોને તેમના ઉત્પાદનના લઘુત્તમ ટેકાના ભાવો પૂરા પાડવાનો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલા MSP મુજબ ખેડૂતોના ખાતામાં સીધા પોષણક્ષમ ભાવો જમા થશે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયાનું સંચાલન રાજ્યની સહકારી સંસ્થાઓ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને સંગ્રહ અને વેચાણની ચિંતામાંથી મુક્તિ મળે. .
રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે મૂળ હાલાર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહીર સમાજના 450 પરિવારનું સ્નેહમિલન મળ્યું હતું જેમાં હાલના સમયમાં મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને કોઈ અગવડતા ન સર્જાય તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા માઠા પ્રસંગો પર થતા ખર્ચ ઉપર નિયંત્રણ લાવવા મહત્વ પૂર્ણ નિર્ણય કરી અલગ અલગ નિયમો બનાવી દેવામાં આવ્યા છે અને જો કોઈ નિયમનું પાલન નહિ કરે તો તેને રૂપિયા એક લાખનો દંડ અને સમાજ વચ્ચે માફી માંગવાની રહેશે તેમજ ફરી નિયમનું ઉલ્લંઘન કરે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતા હાલાર પંથકના આહીર સમાજના યુવા અગ્રણી વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે 8 નવેમ્બરને શનિવારના રોજ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે પાર્ટી પ્લોટમાં મૂળ હાલર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહિર સમાજના 450 પરિવારોનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સહમતીથી સારા માઠા પ્રસંગોમાં વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં મુખ્ય 14 મુદ્દાઓ આવરી લેવામા આવ્યા છે અને આ નિયમોનું કોઈ ઉલ્લંઘન કરશે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે હાલના સમયમાં મોંઘવારી દિવસેને દિવસે સતત વધતી જોવા મળી રહી છે આજે સોના ચાંદીના ભાવ પણ એક લાખને પાર પહોંચી ગયા છે અને સમાજમાં દેખાદેખી ના કારણે સારા માઠા પ્રસંગોમાં સમાજમાં રીત રિવાજો પુરા કરવા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે માટે જરૂરિયાતથી વધુ ખોટા કુ-રિવાજો દૂર કરવા નક્કી કરી બાદમાં સમાજના લોકો સાથે મળી સમાજના દરેક લોકોની ચિંતા કરી 14 નિયમો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ નિયમો બધા આગામી હોળી ધુળેટીના પર્વ બાદથી લાગુ કરવામાં આવશે. સમાજ દ્વારા લેવાયેલા 14 નિર્ણયો (1) લાડવા પ્રથામાં મોટો જમણવાર કરવો નહીં બેન દીકરી પૂરતું મર્યાદિત રાખવું. (2) કંકુ પગલાં પ્રથા બંધ કરવી. (3) પ્રિવેડિંગ બંધ કરવું. (4) કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં. (5) મામેરામાં રૂ.11,000 થી વધારે છાબમાં મૂકવા નહીં. (6) લગ્ન પ્રસંગે વર પક્ષે છાબમાં જાહેરમાં 7 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં, અને દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વધારેમાં વધારે 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં. (7) માઠા પ્રસંગે ખીચડી તથા બીજા ટકનું જમણવાર ઘર તથા બહેન દીકરી પૂરતું જ કરવું. (8) કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં. (કુટુંબ પરિવાર પૂરતું રાખવું) (9) લગ્ન પ્રસંગમાં કોઈપણ રસમમાં પૈસા ઉડાડવા નહીં. (ફુલેકુ, દાંડિયા રાસ, ડી જે, મામેરા, વરઘોડો, વરતી જાન). (10) શ્રાદ્ધ, પાચમમાં જમણવાર ઘર પૂરતું રાખવું. (11) શ્રીમંત, દીકરી દીકરા વધામણાંમાં ડેકોરેશન કરવું નહીં. પેંડા વહેચણી પ્રથા બંધ કરવી. (12) કોઈપણ પ્રસંગમાં બહેનો એ પૈસા પાછા વાળવાની પ્રથા સદંતર બંધ કરવી. (13) વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. (14) વર કે કન્યાએ પ્રિવેડિંગ કરવું નહીં
સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ગણોત ખેડૂત (ભાગ્યાને)ને રૂપિયા 7,500ની સહાય કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે, તેવા 7500 ખેડૂતને સહાય આફવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ સુરતમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “હિરાબા નો ખમકાર” અભિયાન શરૂ કર્યું હતું, જે હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત આજદીન સુધી 551 દીકરીને શિક્ષણ સહાય આપવામાં આવી હતી. આજરોજ (9 નવેમ્બર) વધુ 551 દીકરીને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આજે 551 દીકરીને શિક્ષણ સહાયને ચેક અપાયા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા-પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી. 21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાનું લક્ષ્યઃ પિયુષ દેસાઈઆ અંગે પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે, દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે. તેમણે જણાવ્યું કે, આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. પિયુષભાઈની અનોખી પહેલને લોકોએ બિરદાવીકાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ હિરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ આ ખરીદી પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરવાનો છે. પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ટેકાના ભાવો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ મણ દીઠ (20 કિલો) રૂ. 1452.60નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવે APMC સેન્ટર પર ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી પ્રક્રિયાના પ્રારંભ રૂપે, કળમદ ગામના એક ખેડૂતની મગફળીની પ્રથમ ખરીદી કરવામાં આવી હતી, જેની સાથે જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કાર્ય સુચારુ રીતે શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયા દ્વારા મૂળી તાલુકાના ખેડૂતોને તેમની મગફળીના યોગ્ય ભાવો મળવાની ખાતરી આપવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, APMC સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમાર સહિત આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા રાજ્ય સરકાર વતી આજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે મગફળી માટે પ્રતિ મણ રૂપિયા 1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે હાલના બજારભાવ કરતાં મણ દીઠ લગભગ 400 વધુ હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આ ફાયદાને કારણે જ રાજ્યભરમાં 9 લાખ 30 હજાર ખેડૂતોએ વેચાણ માટે રેકોર્ડબ્રેક નોંધણી કરાવી છે. જોકે, આ ખરીદીમાં એક ખેડૂત દીઠ 125 મણની મર્યાદા રાખવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગયા વર્ષે આ મર્યાદા 200 મણની હતી. ખેડૂતો માવઠાને કારણે પાકને નુકસાન થયું હોવા છતાં, આ મર્યાદા વધારીને ઓછામાં ઓછી 150 મણ કરવાની માગ કરી રહ્યા છે, જેથી તેમને બાકીનો પાક ઓછા ભાવે બજારમાં વેચવો ન પડે. પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે CCTV ગોઠવાયાખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટેના તમામ સરકારી ધારા ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતોને તેમના વેચાણ માટે SMS દ્વારા જાણ કરવામાં આવી છે, તે ખેડૂતો આજે નિર્ધારિત ખરીદ કેન્દ્રો પર પોતાની મગફળી લઈને પહોંચ્યા હતા. ગુણવત્તાના માપદંડો મુજબ મગફળીની ચકાસણી કરીને ખરીદી શરૂ કરવામાં આવી છે. કોઈપણ ગેરરીતિને રોકી શકાય અને ખરીદી સુચારુ રૂપે ચાલે તે માટે આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા દરેક ખરીદ કેન્દ્ર પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ પણ વાંચો: માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન આ પણ વાંચો: ઉનામાં ટેકાના ભાવે મગફળી ખરીદી અટકી:ડિસ્ટ્રિક્ટ કમિટીની મંજૂરી ન મળતાં ખેડૂતોને ધક્કા, કાલે શરૂ થવાની આશા દરરોજ 80થી 90 ખેડૂતોને બોલાવવામાં આવશેરાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને સરળતા રહે તે માટે રાજકોટ તાલુકા માટે 3 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં હાલ ખરીદી ચાલુ છે. એટલું જ નહીં, ખેડૂતોને રાજકોટ યાર્ડ સુધી લાંબો ધક્કો ન થાય તે માટે લોધિકામાં પણ 2 કેન્દ્રો અને પડધરીમાં 3 કેન્દ્રો પર અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં પડધરી તાલુકાના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. ત્રણેય સ્થળે અલગ-અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. રોજની મજૂરીની સગવડતા મુજબ અંદાજે 80થી 90 ખેડૂતોને દરરોજ બોલાવવામાં આવશે. હાલ બજારમાં મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1150ની આસપાસ ચાલી રહ્યા છે, જ્યારે સરકારે ટેકાનો ભાવ રૂ. 1452 નક્કી કર્યો છે. આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના 5 એ.પી.એમ.સી. સેન્ટરો પર ટેકાના ભાવે ખરીદીના શ્રીગણેશ જથ્થાની મર્યાદાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યોએક તરફ સરકાર અને ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થવાને સકારાત્મક ગણાવવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ખરીદીના જથ્થાની મર્યાદાથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેમાં ખેડૂતોને ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1452 યોગ્ય લાગી રહ્યો છે, પરંતુ ખરીદીના જથ્થાની મર્યાદાથી તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખરીદી ગયા વર્ષની જેમ 200 મણ કરવામાં આવે તેવી માગઅન્ય ખેડૂત મુકેશભાઈ બકૂતરાએ પણ આ મુદ્દે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગયા વર્ષની 200 મણની સામે આ વર્ષે માત્ર 125 મણની ખરીદીના કારણે ખેડૂતોને 50 % જેટલું નુકસાન થઈ રહ્યું છે. આ વર્ષે વરસાદના કારણે પાકને નુકસાન થયું હોવાથી મગફળીનું ઉત્પાદન પણ ઓછું આવ્યું છે, અને ઉપરથી ખરીદીનો જથ્થો પણ અડધો કરી દેવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખરીદીનો જથ્થો વધારીને ગયા વર્ષની જેમ 200 મણ કરવામાં આવે, તેવી અમારી માગ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિર્ણયને આવકાર્યોગઢકા ગામના ખેડૂત ચતુરભાઈ લાલજીભાઈ કલોલાએ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાના નિર્ણયને ખૂબ સારો ગણાવ્યો છે. જોકે, તેમણે ખરીદી માટે નક્કી કરાયેલી મર્યાદા અંગે થોડો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકારે મગફળીની ખરીદી માટે પ્રતિ એકર 125 મણની જે મર્યાદા રાખી છે, તે આ વર્ષે મગફળીના વધેલા વાવેતરના પ્રમાણમાં ઓછી છે. ચતુરભાઈ કલોલાના મતે, સરકારે આ મર્યાદા વધારીને 150 મણ રાખવાની જરૂર છે. બજારભાવ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં મગફળીની ગુણવત્તાના આધારે બજારમાં 900થી 1100 રૂ. સુધીના ભાવ ચાલી રહ્યા છે. જ્યારે સરકારે ટેકાના ભાવે 1452 રૂ. પ્રતિ ક્વિન્ટલનો જે ભાવ નક્કી કર્યો છે, તે ખેડૂતો માટે સારો ભાવ છે. જથ્થાની મર્યાદાના કારણે ખેડૂતોમાં થોડો અસંતોષઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. તેમાં હાલના બજારભાવ કરતા રૂ. 400 જેટલો ફાયદો હોવાથી હાલ આ બાબતે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. પરંતુ ગત વર્ષે 200 મણની સામે આ વર્ષે 125 મણની મર્યાદા રાખવા બાબતે ખેડૂતોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષે માવઠાને કારણે એકતરફ ઉભો પાક બગડી ગયો છે. બીજી તરફ જથ્થાની મર્યાદાના કારણે ખેડૂતોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની રજૂઆત પર સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થવાની ગંભીર ઘટના સામે આવી છે. દિવાળીના વેકેશનમાં નેપાળ ફરવા ગયેલા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશી (ધોરણ 11, વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ)નો નેપાળના દુર્ગમ અન્નપૂર્ણા-3 પર્વત તરફના વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે સંપર્ક તૂટી ગયો છે. ટ્રેકિંગનો શોખ બન્યો ચિંતાનું કારણકડોદ ગામના રહેવાસી જીગ્નેશભાઈ અને તેમની પુત્રી પ્રિયાંશીને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારોમાં ટ્રેકિંગ કરવાનો શોખ હતો. આ શોખને સંતોષવા માટે તેઓએ નેપાળના પડકારરૂપ અન્નપૂર્ણા-3 તરફના ટ્રેકિંગનું આયોજન કર્યું હતું. પિતા-પુત્રી ગત 14 ઓક્ટોબરના રોજ વતન કડોદથી સુરત થઈ ટ્રેન મારફતે નેપાળ જવા રવાના થયા હતા. તેઓનો નિર્ધારિત કાર્યક્રમ 31 ઓક્ટોબર સુધીમાં પરત વતન આવી જવાનો હતો. હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્યો31 ઓક્ટોબરની નિર્ધારિત તારીખે તેઓ પરત ન ફરતાં પરિવારમાં ચિંતા વધી હતી. જીગ્નેશભાઈની પત્ની જાગૃતિ બહેને છેલ્લે મોબાઈલ પર વાત કરી હતી. ત્યારે જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, નેપાળમાં ભારે હિમવર્ષા થવાના કારણે અન્નપૂર્ણા-3 તરફના માર્ગો બંધ થઈ ગયા છે. જોકે, ત્યાર બાદ તેઓનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી અને આજદિન સુધી તેમની કોઈ ભાળ મળી નથી. શોધખોળના પ્રયાસો શરૂપતિ અને પુત્રી પરત નહીં ફરતાં ચિંતિત બનેલા પત્ની જાગૃતિ બહેને તાત્કાલિક સ્થાનિક કડોદ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ અને પુત્રી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ, પરિવારે સ્થાનિક નેતાગીરીના માધ્યમથી ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કર્યો છે. હાલમાં નેપાળનું તંત્ર જીગ્નેશભાઈ અને પ્રિયાંશીને શોધવાની તજવીજ હાથ ધરી રહ્યું છે અને તેમના ફોટાઓ પણ ભારત સરકારને પૂરા પાડવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર બાદ પણ પિતા-પુત્રી ગુમ રહેતા કડોદ ગામ અને સમગ્ર સુરત જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, અને વહેલી તકે તેમના સુરક્ષિત પરત ફરવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પત્નીએ કહ્યું 23 હજાર ફૂટ ઉપર ફસાયા હોવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં આ પર્વત પર માત્ર 3 લોકો જ જઇ શક્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, પિતા-પુત્રીએ આ ટ્રેક પર જવા માટે કોઇ ટ્રેનિંગ લીધી ન હતી. જો કે, તેમની દીકરી 10માં ધોરણમાં ભણતી હતી ત્યારથી ટ્રેકીંગ કરે છે. અત્યારસુધીમાં ઘણી જગ્યાએ ટ્રેકીંગ કરી ચૂકી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ દાહોદ ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. દેવગઢ બારીયા અને આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી વહન કરતા 14 ટ્રક અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં રેતી સહિત આશરે ₹2 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની ઉજ્જવલ અને પાનમ નદીમાંથી થતા ગેરકાયદેસર રેતી ખનન અને તેને રાજસ્થાન લઈ જવાના મામલે દિવ્ય ભાસ્કર ડિજિટલે 5 ઓક્ટોબરે વિસ્તૃત સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ સમાચારની અસરરૂપે તંત્ર સક્રિય થયું હતું. સમાચારમાં જણાવાયું હતું કે રેતી માફિયાઓ રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી નદીમાંથી તાજી રેતી કાઢીને સીધી ડમ્પરમાં ભરી દેતા હતા. રોયલ્ટી પાસ કે પરમિટ વિના ઓવરલોડ ડમ્પર દેવગઢ બારીયા થઈને લીમખેડા, ઝાલોદ માર્ગે રાજસ્થાનમાં પ્રવેશ કરતા હતા. મોટાભાગના ડમ્પર પર નંબરપ્લેટ પણ હોતી નહોતી. દરરોજ આશરે 150થી 200 જેટલા ડમ્પર આ રૂટ પરથી પસાર થતા હતા. આ ડમ્પરમાંથી ટપકતા પાણી અને ઓવરલોડ વજનને કારણે લીમખેડા નગરનો ઝાલોદ તરફનો સ્ટેટ હાઈવે વારંવાર તૂટતો હતો. રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા હતા અને ડામર ઉખડી ગયું હતું, જેનાથી અકસ્માતનો ખતરો વધ્યો હતો. પથરાયેલી રેતીથી ઉડતી ધૂળને કારણે આરોગ્યને નુકસાન થતું હતું. ગેરકાયદેસર ખનનથી સરકારને લાખો રૂપિયાનું રાજસ્વ નુકસાન થતું હતું. નદી કિનારા ખોદાઈ જવાથી પાણી પ્રદૂષિત થતું હતું અને જળસ્તર ઝડપથી ઘટતું હતું. આરટીઓ અને પોલીસ પેટ્રોલિંગ કરતી હોવા છતાં અત્યાર સુધી કડક કાર્યવાહી થઈ ન હતી. લોકો રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને ઓવરલોડ તેમજ નંબરપ્લેટ વિનાના ડમ્પર પર કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા હતા. દિવ્ય ભાસ્કરના સમાચાર બાદ ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક પગલાં લીધાં અને તપાસની ખાતરી આપી હતી. હાલમાં, દેવગઢ બારીયા અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનો કારોબાર ચાલુ છે કે કેમ, તેના પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે,કારણ કે સરકારની યોજના મુજબ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીન સહિતની જણસીઓની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ખરીદીના પ્રથમ તબક્કામાં કુલ 42 કેન્દ્રો માંથી 17 સેન્ટરો પર ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં મુખ્યત્વે મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે મગ અને અડદ માટે પણ નોંધણી થઈ ચૂકી છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ ₹ 1,452 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે સોયાબીન માટે પ્રતિ મણ ₹ 1,065 નો ભાવ નક્કી થયો છે. ખરીદીની મર્યાદાની વાત કરીએ તો, એક ખાતેદાર દીઠ મગફળી અને મગ માટે મહત્તમ 2,500 કિલો અને સોયાબીન માટે પ્રતિ હેક્ટર 650 કિલોની મર્યાદામાં 2,500 કિલોની મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોએ મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે ટેકાના ભાવે માલ વેચવા નોંધણી કરાવી હતી. જૂનાગઢ જિલ્લામાં 1,14,000 થી વધુ ખેડૂતોએ પોતાનો માલ વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી મગફળી વેચવા માટે સૌથી વધુ નોંધણી થઈ છે. જે ખેડૂતોને મેસેજ કે કોલ આવ્યો હતો તે પોતાની જણસી લઈને કેન્દ્ર પર પહોંચ્યા હતા. ઇન્ડો એગ્રી કંપનીના જિલ્લા પ્રતિનિધિ દિનેશ સિસોદિયાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ઇન્ડો એગ્રી કંપની દ્વારા નોડલ એજન્સી NCCF ના માધ્યમથી જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરવા માટે સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલમાં 17થી વધુ સેન્ટરો કાર્યરત છે અને ખેડૂતોની જરૂરિયાત વધશે તેમ 41થી વધુ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે, જે તબક્કાવાર શરૂ થશે. હાલ જૂનાગઢ, ભેંસાણ, વિસાવદર, કેશોદ અને મેંદરડામાં 1-1, માંગરોળમાં 2, વંથલી અને માણાવદરમાં 3-3 તથા માળીયામાં 4 કેન્દ્રો પર ખરીદીની શરૂઆત થઈ છે. સૌથી વધુ ખેડૂતોએ કેશોદ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવ્યા છે. ખેડૂતોને મળતું વળતર અને નુકસાનથી બચાવ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ગોલાધર ગામના ખેડૂત ગોવિંદભાઈ વિરડાએ તેમની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેમને મગફળીનો ભાવ ₹ 1,452 પ્રતિ મણ મળ્યો છે. તેમણે કહ્યું કે, જો ખેડૂતો આ જ મગફળી બજારમાં વહેંચે તો ₹ 21,000 થી ₹ 22,000 મળે. પરંતુ અત્યારે ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી તેઓ બજારમાં તાત્કાલિક વેચે છે, જેમાં તેમને ₹ 7,000 થી ₹ 8,000 નું નુકસાન થાય છે. તેના બદલે ટેકાના ભાવે વેચાણ કરવાથી ખેડૂતોને સારો ફાયદો થાય છે. અધિકારી જીગર ભટ્ટે પણ આશા વ્યક્ત કરી હતી કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ આ ટેકાના સારા ભાવ મળવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળશે. ગુણવત્તા જાળવવા અને સહકાર આપવા અપીલ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે ખેડૂતોને ખાસ વિનંતી કરી છે કે, છેલ્લે થયેલા કમોસમી વરસાદને લઈને મગફળીને જે નુકસાન થયું હતું, તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સારી અને ગુણવત્તાવાળી મગફળી જ ટેકાના ભાવે વેચવા માટે લાવવી. તમામ સેન્ટરો પર કઈ ગુણવત્તાવાળી જણસી ટેકાના ભાવે વેચી શકાય તેની માહિતી આપવામાં આવી છે. તેમણે ખેડૂતોને શિસ્તબદ્ધ રહેવા અને જ્યારે મેસેજ કે કોલ આવે ત્યારે પોતાની જણસીનું યોગ્ય ગ્રેડિંગ કરી અને વેચવા માટે લાવવા ખાસ વિનંતી કરી છે,જેથી ખરીદીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે..
કચ્છના ભચાઉ રેલવે સ્ટેશન પર ભુજ-બરેલી ટ્રેનના ગાર્ડ કોચમાં ધુમાડો નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને કારણે ટ્રેન લગભગ 30 મિનિટ સુધી ભચાઉ સ્ટેશને ઉભી રહી હતી. ઈકાલે રાત્રે ભુજથી બરેલી જતી ટ્રેન નંબર 14322 ભચાઉ પહોંચી ત્યારે ગાર્ડ કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. સંભવિત શોર્ટ સર્કિટના કારણે વાયરિંગ બળવાની વાસ સાથે ધુમાડો ફેલાયો હતો. આ ઘટનાને પગલે બાજુના જનરલ કોચમાં સવાર મુસાફરોને સલામતીના ભાગરૂપે પ્લેટફોર્મ પર ઉતરવાની સૂચના અપાઈ હતી. ગભરાટમાં મુસાફરો ઉતાવળે કોચમાંથી બહાર નીકળવા પડાપડી કરતા થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરી કોચની તપાસ કરવામાં આવી હતી. ભચાઉ રેલવે સ્ટેશનના ફરજ પરના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે 8:41 વાગ્યે ટ્રેન આવતા ગાર્ડ કોચમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડો જોવા મળ્યો હતો. ગાર્ડ દ્વારા જાણ કરાતા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. રેલવે કર્મચારીઓએ સમસ્યાનો ઉકેલ લાવ્યા બાદ ટ્રેનને આગળના સ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, આ સામાન્ય ઘટનાની જાણ સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ જતાં કોચમાં આગ લાગવાની અફવાઓ ફેલાઈ હતી, જેના કારણે મુસાફરો અને ઉપસ્થિત લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. બાદમાં બધું સલામત હોવાની ખાતરી થતાં સૌએ રાહત અનુભવી હતી.
ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરીયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. લગ્નના થોડા સમય બાદ પિયરમાંથી કરિયાવર ના લાવી હોવાનું કહી પતિ સહિત સાસરિયા પક્ષના લોકો માર મારતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. લોન લઈને ખરીદેલા મકાન પર પતિએ કબજો કરી બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી મૂકતા મહિલાએ પોલીસ સ્ટેશન જવાની ફરજ પડી છે. કરિયાવરમાં કંઈ ન લાવ્યાનું કહી ત્રાસ આપતા હોવાનો આક્ષેપમહિલાએ પતિ સહિત સાસરિયા પક્ષના 5 લોકો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન મનીષ (નામ બદલાવ્યું છે) સાથે રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમય બાદ બે દીકરીઓનો પણ જન્મ થયો હતો. જે બાદ અચાનક ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું અને લગ્નના થોડા સમય બાદ સાસરિયા પક્ષના લોકો મહિલા સાથે નાની નાની બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા. જે બાદ સાસુએ પતિને ઉશ્કેરતા મહિલા સાથે પતિએ મારામારી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન કર્યા ત્યારે પિયરમાંથી કંઇ કરિયાવર ના લેવાનું કહી સાસરિયા પક્ષના લોકો મહિલાને માનસિક ત્રાસ આપતા હતા. સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલાએ એકલા રહેવાનું નક્કી કર્યું હતું. જેથી મહિલાએ પોતાના દાદી અને પિતા પાસે પૈસા લઈને અને બાકીના રકમની લોન કરાવી એક મકાન લીધું હતું. તેમજ લોનના હપ્તા પણ મહિલા પોતે ભરતી હતી. નવા મકાનમાં સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલા પોતાના પતિ સાથે અલગ રહેવા માટે જતી રહી હતી. ત્યાં પણ થોડા સમય બાદ સાસરીયા પક્ષના લોકોની અવરજવર શરૂ થઈ જતા ફરી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. બે દીકરીઓ સાથે ઘરમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપપિયરમાંથી આણુ કેમ લાવી નથી તેવું કહી મકાન સાસુના નામે કરી દેવા દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ સાસુના નામે ઘર કરાવવા માટે માર પણ મારવામાં આવતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. જો કે ઘર તૂટે નહીં તે ડરથી મહિલા આટલા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી હતી. પરંતુ 20 ઓક્ટોબરના મહિલાને માર મારી તેના પતિએ બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી દીધી હતી. જેથી મહિલા પોતાના પૈસાથી મકાન લીધા બાદ માતા - પિતા સાથે રહેવા માટે મજબૂર બની છે.જેના કારણે મહિલાએ આખરે કંટાળીને પતિએ પોતાના ખરીદેલા મકાન પણ કબજો કરી દીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ પતિ સહિતના સાસરિયાઓ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં SIR હેઠળની મતદાર યાદીની કામગીરી મુદ્દે શિક્ષકોએ વાંધો વ્યક્ત કર્યો છે. મહેસાણામાં શિક્ષકોના પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળની મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પડતી તકલીફો અંગે વાંધો વ્યક્ત કરીને ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં પાંચ મુખ્ય મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે. જેમાં શિક્ષકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, સ્કૂલના સમય દરમિયાન આ કામગીરી કરવી તેમના માટે અશક્ય છે. શિક્ષક સંઘે ખાસ કરીને એવી માગણી કરી છે કે, સ્કૂલના સમય દરમિયાન શિક્ષકોને મતદાર યાદી સુધારણાની કામગીરી ન સોંપવામાં આવે. તેમની દલીલ છે કે, સ્કૂલ કાર્યની સાથે જ આ કામગીરી કરવી શક્ય નથી, તેમ છતાં પરિપત્ર કરીને શિક્ષકોને સ્કૂલ કાર્ય દરમિયાન જ આ કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. BLO શિક્ષકોને મદદ કરવા અન્ય કર્મચારીઓની ફાળવણી કરવા માગઆ ઉપરાંત સંઘે એવા શિક્ષકોનો પણ મુદ્દો ઉઠાવ્યો છે, જેઓ 10% વતન હુકમોથી ફરજ બજાવી રહ્યા છે. આ શિક્ષકો માટે BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની વધારાની કામગીરી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. કામગીરી સરળ બનાવવા માટે BLO શિક્ષકોને મદદ કરવા માટે અન્ય કર્મચારીઓની ફાળવણી કરવાની પણ માંગણી કરવામાં આવી છે. વધુમાં શિક્ષકોને મતદારો તરફથી ઝડપથી ફોર્મ ભરીને સહકાર ન મળતો હોવાની સમસ્યા પણ રજૂ કરવામાં આવી છે. જે કામગીરી સમયસર પૂર્ણ કરવામાં અવરોધરૂપ બને છે. આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એક ઘર પાછળ અડધો કલાક નીકળે છે, કામ પૂર્ણ થઈ શકે તેમ નથીઃ પંકજકુમારઆ મામલે ગુજરાત રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહા સંઘના ઉપાધ્યક્ષ પંકજકુમાર આઈ પટેલએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લાની અંદર જે શિક્ષકોને SIRની કામગીરી આપવામાં આવી છે તે કામગીરીની અંદર પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટે જિલ્લા ચૂંટણી અને મતદાર નોંધણી અધિકારીને મુલાકાત લઈ અમારા બીએલઓ શિક્ષક મિત્રો છે, તેમને પડતી વિવિધ મુશ્કેલીઓને દૂર કરવી છે. એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકને ડોર-ટુ-ડોર જઈને દરેક મતદારના ફોર્મ આપવાના છે. એ ફોર્મની અંદર દરેક ઘરના સભ્યની સહી લેવાની છે અને એ ફોર્મ ભર્યા પછી પાછા પરત કલેક્ટ કરવાના છે. એની અંદર ફોટોગ્રાફ્સ પણ ચિપકાવવાનો છે અને સાથે એને અન્ય 12 ડોક્યુમેન્ટમાંથી એક ડોક્યુમેન્ટ એમનું જોડવાનું છે. ત્યારે ઘરે-ઘરે કેટલાક લોકો પાસે ઝેરોક્ષો નથી, કોઈકની પાસે ફોટા નથી. આમ કર્મચારી પોતે પોતાનો અડધો કલાકથી વધારે સમય એક ઘર પાછળ ખર્ચે તો એ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી શકે તેમ નથી. ‘સ્કૂલની કામગારી બાદ બે કલાકથી વધારે શિક્ષકો કામગીરી કરી શકે નહીં’બીજો પ્રશ્ન છે કે, શિક્ષક શાળામાં નોકરી કરે કે કામગીરી કરે? સ્કૂલના છૂટ્યા પછી કામગીરી કરવા જાય તો એને બે કલાકથી વધારે કામગીરી કરી શકે નહીં. પોતાના ઘરે નાના બાળકો પણ હોય અને એમને ઘરે પરિવારને પણ સાચવવાનો હોય છે. એટલે ચાલુ સ્કૂલે આ કામગીરી કરી શકે તો શિક્ષક સરળતાથી આ કામ પૂર્ણ કરી શકે. બીજુ કે, બીએલઓ ઓર્ડર જે કરવામાં આવ્યા છે તે વતનનું સરનામું જોઈને કરવામાં આવ્યા છે. વતનના સરનામાંથી શાળાનું અંતર ઘણું વધારે હોવાથી એ શિક્ષક કામગીરી કેવી રીતે કરી શકે? એટલે નોકરી ના કરતા હોય એવા ગામોમાં પણ આપવામાં આવે છે.
રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા હાફ મેરેથોન:1100થી વધુ દોડવીરોએ ભાગ લીધો, તંદુરસ્ત પારડીનો સંદેશ
રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા પારડી શહેરમાં હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત પારડીના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 1100થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ ત્રીજી વખત રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના લોકોના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો હતો. આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવક-યુવતીઓ અને વડીલોએ ભાગ લીધો હતો. દોડવીરોએ 5 KM, 10 KM અને 21.1 KM એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાના ડૉક્ટર્સ, ઉદ્યોગપતિઓ, પારડી પોલીસના જવાનો તેમજ અન્ય યુવક-યુવતીઓ અને મહિલાઓએ આ હાફ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે પારડીના રહીશો અને બાળકોએ ઠેરઠેર તાળીઓના ગડગડાટથી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 2 કેન્દ્રો પર આ ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણ 1452 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવશે. પ્રથમ દિવસે 50 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી પ્રક્રિયા અંતર્ગત જામનગર જિલ્લાના APMC સેન્ટરો પર મગફળી ઉપરાંત અળદ, મગ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તેમજ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી છે. ખરીદી કેન્દ્રો પર CCTV કેમેરા, કોમ્પ્યુટર, વજન કાંટા અને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેડૂતોને ફોન દ્વારા ક્રમવાર બોલાવવામાં આવશે જેથી ખરીદી પ્રક્રિયા સુચારુ રીતે ચાલે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. જામનગર જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ હોવાથી, અત્યાર સુધીમાં જામનગર તાલુકામાં 19,000 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામના તળાવમાંથી 6 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં આ બાળક અગાઉ ત્રણ દિવસ પહેલા ગુમ થયું હતું અને તે બાબતે પરિવારે સાવલી પોલીસને જાણ કરી હતી. દરમ્યાન ગત રોજ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા સાવલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાવલીના પરથમપુરા ગામના તળાવમાંથી બાળકનો મૃતદેહ મળ્યોવડોદરાના સાવલીના પરથમપુરા ગામની સીમ વિસ્તારમાં આવેલ તળાવમાંથી 6 વર્ષીય પુરુષ બાળકનો મૃતદેહ મળી આવતા સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પી.એમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. મૃતક બાળકનું નામ ભવ્ય ઉર્ફે કાલું જીતેન્દ્ર અંબાલાલ રાઠોડિયા છે. આ બનાવને લઈ સાવલી સહિત વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લા પોલીસની તપાસ એજન્સીઓ દોડી ગઈ હતી. 06 નવેમ્બરે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધાયો હતોઆ બનાવ સંદર્ભે ગત તારીખ 06 નવેમ્બરના રોજ સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા પોલીસ પણ ચોકી ઊઠી હતી. બાળકનું મોત ડૂબી જવાથી થયું કે બીજુ કંઈ રહસ્ય ?આ બનાવ સંદર્ભે હાલમાં સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકનું મોત પ્રાથમિક દૃષ્ટિએ ડૂબી જવાથી થયું છે, પરંતુ આ ઘટનામાં હકીકત છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ:જિલ્લામાં 35,106 ખેડૂતોએ નોંધણી કરાવી, પ્રતિ મણ ₹1452 ભાવ
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી પ્રતિ મણ ₹1452 ના ભાવે મગફળી ખરીદવામાં આવશે. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળી ખરીદી શકાશે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. આમાં પોરબંદર તાલુકાના 15,645, રાણાવાવના 7,665 અને કુતિયાણાના 11,846 ખેડૂતોનો સમાવેશ થાય છે. ખરીદીનો શુભારંભ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા. જોકે, ખરીદીના પ્રથમ દિવસે માત્ર ત્રણ ખેડૂતો જ પોતાની મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. એક ખેડૂતે જણાવ્યું કે બરડા અને બરડી વિસ્તારમાં 70 થી 80 ટકા પાકને નુકસાન થયું છે, જેના કારણે ઉત્પાદન ઓછું થયું છે.
ઓનલાઈન છેતરપિંડી, 6 સામે ફરિયાદ:બોટાદ LCB એ 4ની ધરપકડ કરી, 2ની શોધખોળ ચાલુ
બોટાદ LCB પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. આ મામલે કુલ ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCB દ્વારા 6 પૈકી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો સામે ઓનલાઈન છેતરપિંડીની અરજીઓ મળ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય શખ્સો પોતાના તેમજ અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને પૂરા પાડતા હતા. તેઓ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના નાણાં મેળવી તેની લેવડદેવડ કરતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અળવ ગામના પરેશભાઈ ભરતભાઈ વિદાણી, સુનિલ સમરથ બાવળીયા, ભવદિપ અશોક બાવળીયા અને નિલેશ રમેશ બાવળીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જયેશ વશરામ બાવળીયા અને શૈલેષ જેરામ ભાળાલા નામના અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ગાંધીનગરનો ઘ 4 અંડરબ્રિજ પસાર કર્યાં પછી બાદ ઉપર ચડતી વખતે રીક્ષા ચાલકે પોતાની રિક્ષા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા રીક્ષા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ગઈકાલે મોડી સાંજે સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું માથું ડીવાઈડર સાથે અથડાવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે રિક્ષામાં પાછળ બેસેલ એક પેસેજરને પણ શરીરે વધતી ઓછી ઇજાઓ પહોંચી છે. આ અંગે સેકટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પથિકાશ્રમ સર્કલથી ઘ 4 અંડર બ્રિજ તરફના રોડ પર અકસ્માતગાંધીનગર શહેરમાં રોકેટ ગતિએ દોડતી રિક્ષાઓના કારણે છાશવારે નાના મોટા માર્ગ અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. એમાંય પથિકાશ્રમ સર્કલ આસપાસનો પાર્કિંગ ઝોન હોવા છતાં ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રીય ભૂમિકા ભજવી રહી હોવાથી અત્રેના રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે પથિકાશ્રમ સર્કલથી ઘ 4 અંડર બ્રિજ તરફના રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર 4 બી પ્લોટ નંબર 1139/1 માં રહેતા કિરણભાઈ પુરાણી નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ-2માં ત્રીજા માળે પટાવાળા તરીકે રોજમદાર તરીકે નોકરી કરે છે. ગઈકાલે નોકરી પૂર્ણ થયા પછી કિરણભાઈ બાઈકની લિફ્ટ લઈને ઘ 5 સર્કલે આવ્યા હતા અને રિક્ષાની રાહ જોઈને ઊભા રહયા હતાં. દરમિયાન એક પેસેન્જર રીક્ષા આવતા આવતા કિરણભાઈ તેમાં બેસી ગયા હતા. રિક્ષા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈતે વખતે ઘ-5સર્કલ થી ઘ-3 પથિકાશ્રમ સર્કલ તરફ જતા રોડ ઉપર ઘ-4 અંડરબ્રીજ પસાર કર્યા બાદ ઉપર ચડી વખતે રીક્ષા ચાલક પોતાની રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રહ્યો હતો. અને થોડે આગળ જતાં તેણે રિક્ષા પરથી કાબુ ગુમાવી દેતા રિક્ષા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ચાલકનું મોત, એક પેસેજર ઇજાગ્રસ્તઆ અકસ્માતમાં કિરણભાઈ અને રિક્ષા ચાલકને ડિવાઈડર સાથે ભટકાયા હતા. જેમાં રિક્ષા ચાલકનું માથું ડીવાઈડર સાથે અથડાવાથી તે બેભાન થઈ ગયો હતો.જ્યારે કિરણભાઈને સામાન્ય ઇજા થઈ હતી.આ અકસ્માત જોઈ લોકો ભેગા થઈ જતા કોઈકે 108 એમ્બ્યુલન્સ બોલાવી બંનેને સિવિલ સારવાર અર્થે ખસેડયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા પછી રિક્ષા ચાલક કમલેશભાઈ સુખદેવભાઈ વણઝારા (રહે પ્લોટ નં.671/1 સેક્ટર 7 બી)ને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કિરણભાઈને કપાળના ભાગે નવ જેવા ટાંકા લઈ દાખલ કર્યા હતા. આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરમાં ગેરકાયદેસર નાણાધીરધારનો પર્દાફાશ:દેવાની વસૂલાતમાં જાતિગત અપમાન, જાનથી મારી નાખવાની ધમકી
પોરબંદરના વાળોત્રા ગામમાં ગેરકાયદેસર નાણાધીરધારનો પર્દાફાશ થયો છે. દેવાની વસૂલાત દરમિયાન આરોપીએ પીડિતને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, માલદેભાઈ લીલાભાઈ વાઢીયાએ નાણાધીરધારનું લાઇસન્સ ન હોવા છતાં એક વ્યક્તિને રૂ. 1,50,000 વ્યાજે આપ્યા હતા. અત્યાર સુધીમાં તેમણે રૂ. 21,00,000 જેટલી રકમ વસૂલી લીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી માલદેભાઈએ દેવાની વસૂલાત માટે પીડિતને વારંવાર ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત, જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પીડિતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાણાવાવ પોલીસે માલદેભાઈ લીલાભાઈ વાઢીયા વિરુદ્ધ ગેરકાયદેસર નાણાધીરધાર અધિનિયમની કલમો તેમજ ધમકી અને અપરાધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી સામે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર નાણાધીરધારની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વધારી છે. પોલીસ તંત્રે આવા ગેરલાઇસન્સ ધરાવતા નાણાં ધીરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે, જેથી સામાન્ય લોકો સાથે અન્યાય ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોન વિસ્તારમાં ગોવર્ધન પાર્ક ચાર રસ્તાથી નિલક્ષ સિટાડેલ કોમ્પ્લેક્સ થઈને રાજીવનગર નાળા પાસે ટ્રંક લાઈન સુધી નવી ડ્રેનેજ લાઈન મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ રોડ રસ્તો બંધ રહેશે. નવી ડ્રેનેજ લાઈન મૂકવાની કામગીરીથી રસ્તો બંધઆ કામગીરી મેન્યુઅલ પુશિંગ પદ્ધતિ તેમજ ઓપન એક્સકેવેશન દ્વારા કરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન હેવી મશીનરી અને મજૂરોની અવરજવરને કારણે વન-વે રસ્તો ખુલ્લો રહેશે. જેમાં નટવરનગર ત્રણ રસ્તાથી પંચશીલ એપાર્ટમેન્ટ સુધીનો માર્ગ ખુલ્લો રાખવામાં આવશે. આ સાથે પંચશીલથી નટવરનગર તરફ જતાં વાહનોને સિટાડેલ કોમ્પ્લેક્સથી ડાયવર્ટ કરી મીરા ચાર રસ્તા થઈને નટવરનગર તરફ મોકલવામાં આવશે. આ કામગીરીની સરળતા માટે 10 નવેમ્બર, 2025થી કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ વિસ્તારનો મુખ્ય રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ પણે બંધ રહેશે. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રાયલ રનની કામગીરીના કારણે પાણીના સમયમાં ફેરફારવડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા નવી બિલ ટાંકીથી પાણી પુરવઠાના ટ્રાયલ રનની કામગીરી ચાલુ છે. 03 નવેમર, 2025થી સવારે 11થી 12 દરમ્યાન ચાલુ કરાયેલા ટ્રાયલ રનમાં 10 નવેમ્બર, 2025થી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીલ ગામમાં તથા મઢી વિસ્તારના સરહદી નાગરિકોને અસરજેમાં સવારે 7થી 8 કલાક અને આ કામગીરીના કારણે બીલ ગામમાં આવેલ વિવિધ ફળિયા, હરિઓમ સોસાયટી તથા મઢી વિસ્તારના સરહદી નાગરિકોને તેની અસર થશે. આ વિસ્તારના નાગરિકોને પાણીના વપરાશમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.
સુરતના રાંદેર-ગોરાટ રોડ પર આવેલા જૈનબ બંગલામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને પગલે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. શનિવારે મોડી રાત્રે આગની ઘટના બનીપ્રાપ્ત માહિતી અનુસાર, રાંદેર-ગોરાટ રોડ પર દિવાળીબાગ પાછળ આવેલ જૈનબ બંગલામાં યુનિસભાઈના મકાનના બીજા માળે આવેલા બેડરૂમમાં શનિવારે મોડી રાત્રે આગની ઘટના બની હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધીઆ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા, અડાજણ સહિત વિવિધ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને લગભગ અડધા કલાકના સઘન પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે આગને અન્ય રૂમોમાં અથવા મકાનના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી. બેડરૂમમાં રહેલી ઘરવખરીને આગ લાગતા ભારે નુકસાનઆગને કારણે બેડરૂમમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગની લપેટમાં આવતા બેડરૂમમાં રહેલા પંખા, ફર્નિચર અને અન્ય ઘરવખરીના સામાનને નોંધપાત્ર નુકસાન થયું હતું. સૌથી રાહતની વાત એ રહી કે, જે સમયે આગ લાગી, તે સમયે બેડરૂમમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પોરબંદરના ઠોયાણામાં નકલી ડોક્ટર ઝડપાયો:રાણાવાવ પોલીસે આરોગ્ય સાથે ચેડા કરનારને પકડ્યો
પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે રામ મંદિર પાસે એક નકલી ડોક્ટર ઝડપાયો છે. વિપુલ બટુકભાઈ સત્યદેવ નામનો આ ઇસમ કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી કે લાઇસન્સ વિના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. સ્થાનિક લોકોની શંકાના આધારે રાણાવાવ પોલીસે કાર્યવાહી કરી તેને પકડી પાડ્યો હતો. આરોપી વિપુલ સત્યદેવ છેલ્લા કેટલાક સમયથી ગામના લોકોને તપાસી દવાઓ, ઇન્જેક્શન અને કેપ્સ્યુલ આપતો હતો. તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી વિવિધ પ્રકારની દવાઓ, કેપ્સ્યુલ, ઇન્જેક્શનો અને અન્ય તબીબી સામાન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૮,૯૦૬/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પાસે કોઈ પણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર કે લાઇસન્સ ન હોવાથી તે નકલી ડોક્ટર તરીકે કામ કરતો હતો. આ ઘટના બાદ રાણાવાવ પોલીસે વિપુલ બટુકભાઈ સત્યદેવ વિરુદ્ધ તબીબી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આરોપીએ અત્યાર સુધી કેટલા લોકોને ખોટી સારવાર આપી છે અને કોઈના આરોગ્યને નુકસાન થયું છે કે કેમ. આ કિસ્સાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા આવા નકલી ડોક્ટરના રેકેટ અંગે ચિંતા જગાવી છે. પોલીસ તંત્રે જાહેર જનતાને ચેતવણી આપી છે કે યોગ્ય લાઇસન્સ કે પ્રમાણપત્ર વિના કોઈ પણ વ્યક્તિ પાસેથી તબીબી સારવાર ન લેવી અને આવા ઇસમો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી.
અમરેલીમાં 5 કેન્દ્રો પર મગફળી ખરીદી શરૂ:ટેકાના ભાવ રૂ. 1452, કમોસમી વરસાદ બાદ ખેડૂતોમાં ઉત્સાહ
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે રાહતના સમાચાર છે. નાફેડ દ્વારા આજે રાજુલા, સાવરકુંડલા, ખાંભા, ધારી અને બગસરા સહિત પાંચ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદીથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મગફળીની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1452ના ટેકાના ભાવે કરવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કે, ઓનલાઈન મેસેજ દ્વારા 5 થી 10 ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના કેન્દ્રો પર ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા. આ ભાવ મળવાથી ખેડૂતો ખુશ છે. જોકે, કમોસમી વરસાદને કારણે મગફળીની ગુણવત્તામાં ફેરફાર થયો હોવાથી, ખેડૂતોએ રાજ્ય સરકારને આ મામલે મદદ કરવા વિનંતી કરી છે. તેમને આશા છે કે સરકાર ગુણવત્તાના મુદ્દે પણ તેમને સહાય કરશે. નાફેડના અધિકારી રાજાભાઈ બારડે જણાવ્યું હતું કે, આજે પાંચ સેન્ટર પર મગફળીની ખરીદી શરૂ થઈ છે અને 10 થી 15 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે ટેકનિકલ સમસ્યાઓના કારણે જે ખેડૂતોનો વારો આજે ન આવ્યો હોય, તેમનો વારો આવતીકાલે આવશે અને સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ ખેડૂતને અન્યાય થવા દેવામાં આવશે નહીં. ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીજ્ઞેશ પટેલે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ખરીદીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, રૂ. 1452ના ભાવે પાંચ ખેડૂતોને બોલાવીને શીંગની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થા નાફેડ અને ગુજકોમારસોલ ખરીદ-વેચાણ સંઘ દ્વારા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ભાવથી ખેડૂતોને ઘણો ફાયદો થશે અને આગામી દિવસોમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી પણ શરૂ થવાની હોવાથી કપાસમાં પણ સારો ભાવ મળે તે માટે રજૂઆત કરવામાં આવશે.
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. ગેસ્ટહાઉસમાં બહારથી મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર ચલાવાતો હતોAHTUને 08/11/2025ના રોજ એક આધારભૂત બાતમી મળી હતી કે, સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહવ્યાપારનો વ્યવસાય કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, AHTUની ટીમે મહિધરપુરા પોલીસના માણસોને સાથે રાખીને માહિતીનું વેરીફિકેશન કરાવ્યું હતું. માહિતી હકીકતલક્ષી જણાતા, સંયુક્ત પોલીસ ટીમે સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન નજીકના આ બંને ગેસ્ટ હાઉસમાં એકસાથે રેઇડ કરી હતી. ગેસ્ટહાઉસ સંચાલક અને 3 ગ્રાહકો સહિત 5 ઝડપાયારેઇડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારના વ્યવસાયનું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામીતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો હતો. તેની સાથે રાત્રી દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ દેહવ્યાપાર માટે આવ્યા હતા. 2 બાંગ્લાદેશી મહિલાઓ અને 3 પશ્ચિમ બંગાળ (કલકત્તા)ની મહિલાઓ મળી કુલ પોલીસે પાંચેય મહિલાઓને દેહ-વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું. ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયારેઇડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી છૂટ્યો હતો. તેને તથા અન્ય બે ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે. પોલીસે ગુન્હાના કામે કુલ રૂ. 50,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, 10, 500 રૂપિયાના 6 મોબાઈલ, રોકતા 10,500, અન્ય વસ્તુઓ જેવી કે પોસ્ટર, કોન્ડમ, Paytm QR કોડ, PhonePe QR કોડ, અને હોટલ રજીસ્ટર કબ્જે કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સુરત શહેરના રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019 થી સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂ કરાવવામાં આવ્યો હતો. રાજકોટમાં પુરૂષોતમ રૂપાલા લોકસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વર્ષે આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે કાર્યક્રમના ઉદ્ઘાટક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કાંતિ અમૃતિયા ગેરહાજર રહ્યા હતા. જ્યારે લાંબા સમયથી ભૂગર્ભમાં રહેલા પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. ખેલાડી ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધા સાથે ખેલ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ તકે સાંસદે આ ખેલ મહોત્સવમાંથી ખેલાડીઓને હારવા કે જીતવાને બદલે શીખવાની સલાહ આપી હતી. જ્યારે આ તમામ ખેલકૂદ કાર્યક્રમોને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી ગણાવી હતી. આ સાથે જ રાજકોટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનોથી ખેલકૂદનું સ્તર ઊંચું આવ્યું હોવાનું જણાવ્યું હતુ. વડાપ્રધાનની પ્રેરણાથી દેશનાં દરેક સાંસદ પોતાના મત ક્ષેત્રમાં 17 વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓથી માંડી સિનિયર સિટિઝન સુધીના કોઈપણ ભાઈઓ-બહેનો પોતાનું ખેલ કૌશલ્ય બતાવી શકે તે માટે સાંસદ ખેલ મહોત્સવ યોજાતા રહે છે. રાજકોટના સાંસદ પુરૂષોતમ રૂપાલા આયોજિત ખેલ મહોત્સવના ઉદઘાટન અવસરે કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ઉદઘાટક તરીકે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજયકક્ષાના મંત્રી કાંતી અમૃતિયા હતા પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કેશરીદેવસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમય બાદ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ તેમજ અરવિંદ રૈયાણી જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર દેખાયા હતા.આ સાથે જ એથ્લેટીકસ નેશનલ પ્લેયર યશ દવે, નેશનલ પેરાશૂટિંગ પ્લેયર ભૂમિબેન મહેતા, નેશનલ કબડ્ડી પ્લેયર સાગર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ થયેલો સાંસદ ખેલ મહોત્સવ રાજકોટ ઉપરાંત મોરબી અને જસદણમાં પણ રમાડવામાં આવશે. જેમાં કબડ્ડી, ખોખો અને એથ્લેટીકસની રમતો સમાવિષ્ટ કરવામાં આવી છે.આ રમતોત્સવમાં 17 વર્ષથી નીચેના ભાઈઓ-બહેનો માટે એક ગ્રુપ અને 17 વર્ષથી માંડી સિનિયર સિટિઝન સુધીના ભાઈઓ-બહેનોનું બીજું ગ્રુપ ભાગ લેશે. ભારત સરકારના રમત-ગમત મંત્રાલયની નિગરાની તળે યોજાતો આ રમતોત્સવ શહેરી અને ગ્રામ્ય લોકોના જીવનમાં રમત-ગમતનું મહત્વ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા તથા સ્વાસ્થ્ય સુધારણા માટે ખૂબ ઉપયોગી છે. આ ખેલ મહોત્સવમાં હાલ 10 હજારથી વધુ રમતવીરોનું રજિસ્ટ્રેશન થયેલું છે. સૌપ્રથમ તાલુકા કક્ષાએ બાદમાં ઝોન કક્ષાએ અને છેલ્લે ડીસ્ટ્રીકટ કક્ષાએ આ રમતોત્સવ થશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનારને મેડલ, ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. સમગ્ર દેશમાં યોજાનારા આ સાંસદ ખેલ મહોત્સવનો કલોઝીંગ સેરેમની તા.25 ડીસેમ્બર-2025 ના રોજ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાઈને દેશભરના રમતવીરોને પ્રેરિત કરશે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ની શરૂઆત કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશવાસીઓની જીવનશૈલીમાં સ્વસ્થ અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. પ્રેરણા રૂપ બનેલી એક અનોખી પહેલ રૂપે આ અભિયાન અંતર્ગત સાયકલિસ્ટ દ્વારા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત “કશ્મીર ટુ કન્યાકુમારી સાયક્લિંગ એક્સપેડિશન - અ રાઈડ ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરના આ અભિયાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 1 સાઇક્લિસ્ટ ભાગ લઇ રહ્યા છે. આ 150 સાઇક્લિસ્ટ શ્રીનગરથી કન્યાકુમારી સુધીનું અંદાજે 4480 કિમીનું અંતર કાપશે. યાત્રાનો હેતુ દેશની એકતા, અખંડિતતા અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને સાકાર કરવાનો છે. યાત્રા દરમિયાન રાઈડર્સે વિવિધ રાજ્યો અને શહેરોમાંથી પસાર થઈ લોકોમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, એકતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવી છે. ગોધરાથી 145 કિમીની સફર પૂર્ણ કર્યા બાદ રાઈડર્સની ટુકડી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પહોંચી હતી, જ્યાં વિવિધ રમત કોચ દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. વધુમાં નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે સાઇક્લિસ્ટ ટીમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ રૂપે ભેેટ આપી હતી. રાઈડર્સે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને નમન કર્યો હતો. રાઈડર્સ સરદાર સાહેબની પ્રતિમાની ભવ્યતા જોઈને અભિભૂત થયા હતા.
જૂનાગઢના ઐતિહાસિક મુક્તિ દિવસ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢથી 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ, તેઓ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પહોંચ્યા હતા અને પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થઈને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક જીમખાના ખાતે સમાપન થઈ હતી. સાધુ-સંતોએ 51 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યોબહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રેલીના પ્રસ્થાન પૂર્વે તેમણે આરઝી હકુમતનો ઇતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ જૂનાગઢની આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ માટે સાધુ-સંતોએ 51 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરી જનભાગીદારીની પહેલને સાર્થક કરી હતી. મુખ્યમંત્રીએ 'એક ભારત'નો સંકલ્પ દોહરાવ્યોપદયાત્રામાં જોડાનાર હજારો નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડીને 'આત્મનિર્ભર ભારત' માટેની પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ દ્વારા દેશે સરદાર પટેલને સાચી અંજલિ આપી છે. આ યુનિટી માર્ચ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ની વિભાવનાને ચરિતાર્થ કરી એકતાનો પાયો વધુ મજબૂત બનાવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં કલમ 370ની નાબૂદી દ્વારા સરદાર સાહેબનું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું છે. મુખ્યમંત્રી પણ બહાઉદીન કોલેજથી પદયાત્રામાં જોડાયા હતારાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક ઉપક્રમે આયોજિત આ 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થઈને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક જીમખાના ખાતે સમાપન થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બહાઉદીન કોલેજથી પદયાત્રામાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર 19 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, જ્યાં વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી સહિત સૌનું અભિવાદન કરાયું હતું. આ સ્ટેજો પર જૂનાગઢનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રના સંકલનથી આ વિશાળ પદયાત્રા સફળ બની હતી. વિવિધ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાઆ ઐતિહાસિક કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્યો સંજય કોરડીયા, ભગવાનજી કરગઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, તેમજ સંતો-મહંતો, વિવિધ સમાજના લોકો અને હજારોની સંખ્યામાં નગરજનો સહભાગી થયા હતા.
શહેરના વટવા વિસ્તારમાં નવાપુરા પાસે દરબાર નગરમાં રાત્રે પિતા અને પુત્ર સહિતના લોકો દ્વારા મકાન અને વાહનમાં આગ લગાવવાની ઘટના બની હતી. ઘરની પાસે પડેલા લાકડા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી બાદ વાહનમાં આગ લગાડી દેવામાં આવી હતી. ત્યારબાદ બાઈકનું સીટ કવર ઘરમાં ફેકતા ઘરમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી રાજા અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પોલીસે ચાર લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. વટવામાં ઝઘડાની અદાવતમાં વાહન-મકાનમાં આગ લગાડીમળતી માહિતી મુજબ શહેરના વટવા વિસ્તારમાં આમીના મસ્જિદ પાસે આવેલા દરબાર નગરમાં વહીદાબા નું શેખ પોતાના પરિવાર સાથે રહે છે તેમની બાજુમાં આમન ઉર્ફે રાજા અસલમખાન પઠાણ પણ પરિવાર સાથે રહે છે. રાજા અને તેમના પરિવારના સભ્યો ઘરની આગળ આવેલી જગ્યામાં ઘરનો સામાન રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરતા હતા છેલ્લા કેટલાક દિવસથી ઘરની આગળની આવેલી જ ખુલ્લી જગ્યામાં લાકડા પડેલા હતા જે કોઈ વ્યક્તિ લઈ ગયું હતું. શનિવારે સવારના સમયે રાજા અને તેના પિતા અસલમખાન પઠાણ સહિત બીજા બે સભ્યો દુકાન પર જઈને લાકડા લઈ જવા બાબતે મહિદાબાનુના પતિ અને તેના પિયર સાથે બોલાચાલી કરી મારા મારી કરી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઘરની બહાર પડેલી બાઈક સળગાવી દીધીહોસ્પિટલમાં હતા ત્યારે સાંજે 7:30 વાગ્યાની આજુબાજુ વહીદા બાનુના પતિના મોબાઈલ પર પરિચિત નો ફોન આવ્યો હતો કે તમારી બાજુમાં રહેતા રાજા અને તેમના પિતા અસલમખાન પઠાણ તથા કુવા કાલુ અને હિના ચારેય જણા તમારું ઘર સળગાવવા માટે આવ્યા છે. રાજા તમારા ઘરની બહાર પડેલી બાઈક સળગાવી દીધી છે અને સળગતી વસ્તુ તમારા બંધ મકાનની જાળીમાં નાખતા ઘરમાં આગ લાગી છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યોહોસ્પિટલથી ચારેય લોકો ઘરે આવ્યા હતા ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર હતી અને આગને કાબુમાં લઈ લીધી હતી. આગ લાગવાના કારણે ઘરમાં રહેલુ ફર્નિચર બળી ગયું હતું અને બે બાઈક પણ બળી ગઈ હતી. આ મામલે વટવા પોલીસ દ્વારા રાજા સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ રથયાત્રા યાત્રાધામ શામળાજી પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શામળાજીમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષો પર આધારિત નાટ્ય રજૂઆતનું આયોજન કરાયું હતું. આ નાટકમાં તેમના 'ઉલગુલાન' આંદોલન અને આદિવાસી અસ્મિતાના જાગરણની કથા દર્શાવવામાં આવી. આ ઉપરાંત, આદિવાસી ગીતો, લોકનૃત્યો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા, જેણે આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત કર્યું. આ પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ સંબોધન કરતા જણાવ્યું કે, 'ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના અમર નાયક અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમની ૧૫૦મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવીને આપણે તેમના વિચારોને જીવંત કરીએ છીએ.' તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ વિકાસ અને જમીન હક્કોનું વિતરણ જેવી સુવિધાઓ પૂરી પાડીને આદિવાસી બંધુઓનું જીવનધોરણ ઊંચું લાવવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ યાત્રા દ્વારા વિકાસની વાતને ઘરઘર સુધી પહોંચાડવામાં આવશે અને યુવા પેઢીને રાષ્ટ્રનિર્માણમાં પ્રેરણા મળશે. આ યાત્રાથી આદિવાસી સમાજમાં નવો ઉત્સાહ અને એકતાની ભાવના જાગી છે, જે રાષ્ટ્રીય એકતા અને વિકાસના માર્ગને મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે રાજપારડી પોલીસે દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ. 72,240 નો જથ્થો જપ્ત કર્યો છે અને બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. રાજપારડી પોલીસ સ્ટાફ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જી.આઈ.રાઠોડના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવા અવિધા ગામના મંદીર ફળીયામાં રહેતા સુનીલ બચુભાઈ વસાવા અને રાકેશ દીલીપભાઈ વસાવાએ તેમના રહેણાંક નજીક વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. આ બાતમીના આધારે રાજપારડી પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 180 મિલીની કુલ 336 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 72,240 થાય છે. પોલીસે દારૂનો સમગ્ર જથ્થો કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ બંને આરોપીઓ ફરાર છે અને તેમની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છમાં ઠંડીની શરૂઆત: નલિયા 14.2, ભુજ 18 ડિગ્રી:લઘુતમ તાપમાન ઘટતા લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો
કચ્છ જિલ્લામાં શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને સંધ્યાકાળ બાદ લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, સરહદી નલિયાનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. નલિયા વડોદરા બાદ રાજ્યનું બીજા ક્રમનું સૌથી ઠંડું મથક બન્યું છે. ભુજ શહેરમાં પણ ગઈકાલથી તાપમાન એક ડિગ્રી ઘટ્યું છે, જે ઠંડીની શરૂઆતનો સંકેત આપે છે. જોકે, ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઠંડીની તીવ્રતા ઓછી જણાઈ રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. દિવસ દરમિયાન સૂર્યનો તાપ હજુ પણ આકરો રહે છે, પરંતુ સવારના સમયે લોકો તડકામાં બેસી સૂર્યસ્નાનનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગના મતે, આ વર્ષે અતિશય ઠંડીથી રાહત મળવાની શક્યતા છે.
આણંદ જિલ્લાના મનરેગા લોકપાલ સુનિલકુમાર વિજયવર્ગીય આવતીકાલે, 10 નવેમ્બર, સોમવારના રોજ પેટલાદ ખાતે ગ્રામજનોની ફરિયાદો સાંભળશે. તેઓ બપોરે 1:30 થી 2:30 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી, પેટલાદ ખાતે ઉપસ્થિત રહેશે. ગ્રામજનો મનરેગા યોજના સંબંધિત કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો રૂબરૂ મળી શકશે. આમાં શ્રમિકોને વેતન ન મળતું હોય, ઓછું મળતું હોય, અથવા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કામગીરીમાં ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણ માટે સુનિલકુમાર વિજયવર્ગીયની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદ ખાતે કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળની કામગીરીનું નિરીક્ષણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવે છે. ગ્રામ પંચાયત કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દેખરેખ રાખે છે અને શ્રમિકોના વેતનનું ચુકવણું આધાર આધારિત કરવામાં આવે છે. પેટલાદ ઉપરાંત, મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા, અનિયમિત વેતન, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ જિલ્લા પંચાયત, આણંદ ખાતે લોકપાલને રૂબરૂ મળી શકે છે અથવા પત્ર દ્વારા ફરિયાદ કરી શકે છે.
વડગામના શહીદ જીગ્નેશ ચૌધરીને વતનમાં શ્રદ્ધાંજલિ:બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા બાદ કેન્ડલ માર્ચ યોજાઈ
બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને તેમના વતન અને આસપાસના ગામોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મોટી ગીડાસણ, ચુડાસણ, રૂપાલ સહિતના ગામોમાં કેન્ડલ માર્ચ યોજી શહીદને યાદ કરાયા હતા. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી. ટ્રેનના કોચ એટેન્ડન્ટે સામાન્ય બાબત, એટલે કે ચાદર માંગવા જેવી વાતમાં, ચાકુના ઘા મારીને તેમની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને સ્થાનિક લોકોએ શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
દાહોદ શહેરને વર્ષ 2016માં ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યું હતું. ત્યારથી આજે નવ વર્ષ વીતી ગયા છતાં શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટનેસનો કોઈ અણસાર નથી. ખાસ કરીને વોર્ડ નંબર 3ના સ્ટેશન રોડ પાસે આવેલી મારવાડી ચાલના રહીશો સ્માર્ટ સિટીમાં રહેતા હોવાની શરમ અનુભવે છે. દાહોદ નગરપાલિકાની ઘોર બેદરકારી, અધિકારીઓની ઉદાસીનતા અને કાઉન્સિલરોની અનુપસ્થિતિને કારણે આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય છે –માણસો તો ઠીક, પશુઓ પણ રહી શકે તેમ નથી. સ્થાનિક રહીશોની વેદના આજે છલકાઈ પડી છે, અને તેઓ સરકાર અને તંત્રને જગાડવા માટે ચૂંટણીમાં વોટ ન આપવાની ચેતવણી આપી રહ્યા છે. ગટરો ઉભરાય, દુર્ગંધ ફેલાય, રહીશોનું જીવન નર્કસમાન બન્યુંકે.કે. સર્જીકલ હોસ્પિટલની બાજુની સાંકડી ગલીમાં ભૂગર્ભ ગટર લાઇનનું ગંદું, દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર રીલાય છે. એક જ ચેમ્બરમાં ચારથી પાંચ કનેક્શન આપવામાં આવ્યા હોવાથી ગટરો વારંવાર ઉભરાઈ જાય છે. હોસ્પિટલોના શૌચાલયના કનેક્શન પણ આ જ લાઇનમાં જોડાયેલા હોવાથી દુર્ગંધ અને ગંદકીનો આતંક સતત ફેલાયેલો રહે છે. રસ્તાઓ તૂટેલા છે, કચરાના ઢગલા ચારેય તરફ વેરાયેલા છે અને મચ્છરજન્ય રોગોના કારણે રહીશો વારંવાર બીમાર પડે છે. નાના બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી, ગંદા પાણીમાં રમવું પડે તો સ્વાસ્થ્ય જોખમાય છે, આર્થિક બોજ વધે છે અને પરિવારોનું જીવન નર્કસમાન બની ગયું છે. અમારા નાના બાળકો વારંવાર બીમાર પડે છેસ્થાનિક રહીશ જાકીરભાઈએ વેદના ઠાલવતાં જણાવ્યું, આ વિસ્તારમાં ખૂબ જ ગંદકી અને ગટરના ગંદા, દુર્ગંધ મારતા પાણીની ગંભીર સમસ્યા છે. હોસ્પિટલ સંચાલકોએ કનેક્શન આપ્યા છે, જેના કારણે ગટરમાંથી પાણી બહાર આવે છે અને રોડ પર રીલાય છે. આ દુર્ગંધ અને ગંદા પાણીથી અમારું જીવવું મુશ્કેલ બન્યું છે. અમારા નાના બાળકો વારંવાર બીમાર પડે છે. અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ સફાઈ કરવા આવ્યું નથી. સફાઈ કર્મચારીઓ આવતા નથી, કાઉન્સિલરો અજાણ્યા બન્યાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આ વિસ્તારમાં પગ મૂકતા પણ નથી. ડોર-ટુ-ડોર કચરા વાન પણ અહીં ક્યારેય પહોંચતી નથી. સ્થાનિકોએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ નગરપાલિકા તંત્ર સ્થાનિકોની સમસ્યાનો નિરાકરણ કરવાના બદલે આંખ આડા કાન કરે છે. સ્થાનિક મહિલા જેનાબેન વર્માએ વેદના સાથે જણાવ્યું, દાહોદને સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અહીં સ્માર્ટ સિટી જેવું કંઈ જ નથી. વર્ષોથી જે સમસ્યાઓનો અમે સામનો કરીએ છીએ, તે આજે પણ યથાવત છે. ગટરો ઉભરાઈ રહી છે, રોડ પર ગંદા અને દુર્ગંધ મારતા પાણી રેલાય છે, જેના કારણે અવરજવરમાં ખૂબ તકલીફ પડે છે. નગરપાલિકા દ્વારા કચરો લેવા કે સફાઈ માટે કોઈ કર્મચારી આજદિન સુધી આવ્યા નથી. અમારે પોતાની ગંદકી જાતે સાફ કરવી પડે છે. અમારી રજૂઆતો પર નગરપાલિકા કોઈ ધ્યાન આપતું નથી. અન્ય એક સ્થાનિક મહિલા કપીલાબેને નિરાશા ઠાલવતાં કહ્યું, અમારા વિસ્તારમાં કોઈ પ્રકારની સફાઈ નથી. અમે આ ગંદકીમાં રહેવા મજબૂર છીએ. નગરપાલિકાના કાઉન્સિલરને અમે ઓળખતા પણ નથી. તેઓ કોઈ દિવસ અહીં આવતા નથી, અમારી સમસ્યાઓના નિવારણ અંગે કોઈ કામ કરતા નથી. ચૂંટણી આવે ત્યારે ‘કાકી-બાબી’ કરીને પગમાં પડીને વોટ લઈ લે છે, પછી ચૂંટણી પૂરી થાય એટલે અમારા વિસ્તારમાં કોઈ નેતા આવતા નથી. નગરપાલિકાના કર્મચારીઓને પણ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કંઈ કામ કરતા નથી, અમારી રજૂઆત સાંભળતા નથી. ચીફ ઓફિસરનો જવાબ- 'મારે કશું નથી કહેવું'દિવ્ય ભાસ્કરએ આ બાબતે ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કેમેરા સામે કંઈપણ કહેવાનો સીધો ઇનકાર કર્યો અને કહ્યું, “હું આ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર નથી. એક તરફ રહીશો હેરાન-પરેશાન છે, તો બીજી તરફ ચીફ ઓફિસર મીડિયા અને લોકોના પ્રશ્નોનો જવાબ આપવા તૈયાર નથી. સ્વચ્છ ભારત મિશનને લાગ્યુ ગ્રહણ: કરોડોની ગ્રાન્ટ છતાં સફાઈ નહિકેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત મિશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને સ્માર્ટ સિટી માટે હજારો કરોડની ફાળવણી કરી છે. છતાં દાહોદ નગરપાલિકા સ્વચ્છતા અને વિકાસમાં ઘોર નિષ્ફળ નીવડી છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ આ વિસ્તાર અબોલ છે. વિકાસના નામે અહીં કોઈ કામગીરી થઈ નથી, ના રસ્તા, ના ગટર, ના સફાઈ. સ્થાનિક રહીશ કિશન સિસોદિયાએ નેતાઓને સીધી ચેતવણી આપતાં જણાવ્યું, અમારા વિસ્તારમાં કોઈ પ્રકારની વિકાસ કામગીરી આજદિન સુધી થઈ નથી. આવનારી ચૂંટણીઓમાં જે નેતાઓ વોટ માંગવા આવશે, તેમને અમારી એક જ રજૂઆત હશે, રોડ, ગટરના ગંદા પાણી અને સફાઈની સમસ્યાઓનો નિકાલ કરો, તો જ વોટ આપીશું. જો સમસ્યાનું સમાધાન નહીં થાય, તો અમે નેતાઓને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમારા વિસ્તારમાં વોટ માંગવા આવશો નહીં. પહેલા કામ કરો, પછી વોટ લેવા આવો. 'સુવિધા નહીં મળે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર'દાહોદ શહેરના વોર્ડ નંબર-3ના રહીશોની એક જ માંગ છે કે, અન્ય વિસ્તારોની જેમ અમારા વિસ્તારનો પણ સંપૂર્ણ વિકાસ કરો. નવા રસ્તા, યોગ્ય ગટર વ્યવસ્થા, નિયમિત સફાઈ અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ અમને પણ તાત્કાલિક આપો. નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે, જો આ સુવિધાઓ નહીં મળે, તો આવનારી નગરપાલિકા અને અન્ય ચૂંટણીઓમાં અમે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. નેતાઓને વોટ માંગવા આવવાની પણ અમારા વિસ્તાર મા મનાઈ છે.
બોલુન્દ્રા કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતિ ઉજવાશે:યાગ, 301 વાનગીનો ભોગ દર્શન અને ભવ્ય ડાયરાનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામે આવેલા ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કાલભૈરવ યાગ, 301 વાનગીઓનો ભોગ દર્શન અને ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું છે. શ્રી ભૈરવજી મંદિર ટ્રસ્ટ, બોલુન્દ્રા દ્વારા 12 નવેમ્બર, બુધવારે કાલભૈરવ જયંતિની ઉજવણી કરાશે. સવારે 11 કલાકે કાલભૈરવ મંદિરે કાલભૈરવ હવનનો પ્રારંભ થશે, જે સાંજે શ્રીફળ હોમ સાથે પૂર્ણ થશે. આ ઉપરાંત, ભૈરવ દાદાને 301 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. સાંજે 7 કલાકે મંદિર પરિસરના મેદાનમાં ભવ્ય રંગ કસુંબલ ડાયરો યોજાશે. આ ડાયરામાં કલાકાર અને ગાયક જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ (ભુવાજી), લોકગાયિકા તેજલ ઠાકોર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું મંચ સંચાલન હાસ્ય કલાકાર સુખદેવ ગઢવી કરશે, જ્યારે ભીખુદાન ગઢવી સહિતના કલાકારો કાર્યક્રમનું સંકલન કરશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોને લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 14.7 ડિગ્રી, ડીસામાં 15.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, નલિયામાં 15.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 15.5 ડિગ્રી, અમરેલીમાં 16.0 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.6 મહુવામાં 17.7 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી, ભુજમાં 19.4 ડિગ્રી, પોરબંદરમાં 18.5 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કડકડતી ઠંડી, તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશેહિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. જેના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ખૂબ ઠંડા રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારોપરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર હજી પણ ગુજરાતમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.
ગુજરાત ATS દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. જે બાદ ATSની ટીમ દ્વારા ISIS સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની દેશના અનેક સ્થળે હુમલો કરવાની યોજના હતીઆ આતંકીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવતા હતા, અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી. ધરપકડ કરાયેલા આતંકીઓ બે અલગ-અલગ મોડ્યુલનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ATSની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા સ્થાનો પર હુમલો કરવાના હતા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે ગુજરાત ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ... થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતીગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો) આતંકવાદી સંગઠન AQIS કેટલું ખતરનાક છે?2020માં એક ટોચના આતંકવાદવિરોધી અધિકારીએ યુએસ ધારાસભ્યોને જણાવ્યું હતું કે AQIS નાના પાયે આતંકવાદી હુમલાઓ કરવામાં સક્ષમ છે. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરે યુએસ સેનેટ કમિટીને જણાવ્યું હતું કે 2019માં યુએસ હુમલામાં AQIS ચીફ અસીમ ઉમરના માર્યા જવાથી દક્ષિણ એશિયામાં આ આતંકવાદી સંગઠન નબળું પડી ગયું છે. જોકે તે હજુ પણ નાના પાયે પ્રાદેશિક હુમલાઓ કરી શકે છે. જોકે નિષ્ણાતો ભારતીય ઉપખંડમાં AQIS અને અલકાયદાના જોખમને ઓછો અંદાજ આપે છે. ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના અજય સાહની કહે છે, અલકાયદાએ સૌપ્રથમ 1996માં ભારતને ટાર્ગેટ તરીકે નામ આપ્યું હતું. એ સમયે ઓસામા બિન લાદેને જમ્મુ-કાશ્મીર અને આસામ બંનેનું નામ લીધું હતું. આ પછી પણ આ આતંકવાદી સંગઠન આ બંને રાજ્યોમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શક્યું નથી. નિષ્ણાતોનું કહેવું છે કે AQISએ હજુ ભારતના યુવાનોમાં વધુ અસર કરી નથી, પરંતુ તે ઈસ્લામિક સ્ટેટના અંતનો ફાયદો ઉઠાવી શકે છે. આ દિવસોમાં AQISએ ભારતમાં પણ તેની પ્રચારપ્રવૃત્તિઓ વધારી છે. તાજેતરમાં જ પયગંબર પરના વિવાદાસ્પદ નિવેદન બાદ AQIS દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર થયા બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. એજન્સીઓએ આ અંગે દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતને જાણ કરી છે અને એલર્ટ રહેવા જણાવ્યું છે.
હિંમતનગરમાં ધોબીની દુકાનમાં આગ:શારદાકુંજ સોસાયટીમાં સરસામાન અને કપડા બળી ગયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલી શારદાકુંજ સોસાયટીમાં એક ધોબીની દુકાનમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનનો સરસામાન અને ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શારદાકુંજ સોસાયટીમાં આવેલી ઝીલ વોશિંગ કંપનીની દુકાનમાં શનિવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ ઝડપથી દુકાનમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાહકોના કપડાં સહિતનો તમામ સામાન બળી ગયો હતો. આગની જાણ પડોશીઓએ દુકાન માલિક શીતલબેન અજયભાઈ ધોબીને કરી હતી, જેઓ ગાયત્રી મંદિર રોડ પર રહે છે. તેઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી.
લખપતમાં 14 વર્ષના બાળકના ખિસ્સામાં ફોન ફાટ્યો:ભાડરામાં મોબાઈલ બહાર કાઢ્યા બાદ પણ બે ધડાકા થયા
કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષના બાળક રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં સ્માર્ટફોન ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ હતી. બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો. થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો. ફોન ખિસ્સામાંથી કાઢી બહાર ફેંકી દેવાયા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને વધુ બે ધડાકા થયા હતા. ભાડરા ગામના યુવા આગેવાન બળુભા તુંવરે જણાવ્યું હતું કે, રાજવીરના ખિસ્સામાં રહેલો મોટોરોલા કંપનીનો સ્માર્ટ મોબાઈલ કોઈ કારણોસર ફાટ્યો હતો. આ બનાવમાં બાળકને સાથળના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે, ખાસ કરીને સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોની સુરક્ષા અંગે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
બોડેલીમાં દારૂ ભરેલી i20 ગાડી ઈકો સાથે ટકરાઈ:પોલીસ પીછો કરતાં એક ફરાર, એક ઝડપાયો
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગત રાત્રિ દરમિયાન વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ i20 ગાડી ઈકો કાર સાથે અથડાઈ હતી. પોલીસે પીછો કરતા આ ઘટના બની હતી, જેમાં ગાડીમાં સવાર બે વ્યક્તિમાંથી એક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા i20 ગાડીનો ચાલક હાલોલ રોડ તરફ જઈ રહ્યો હતો. ખોડિયાર માતાના મંદિર સામે તેણે આગળ ઉભેલી ઈકો ગાડીને ટક્કર મારી હતી, જેના કારણે i20 ગાડી ત્યાં જ અટકી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ગાડીમાંથી એક વ્યક્તિ ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે અન્ય એકને પોલીસે પકડી પાડ્યો હતો. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. બોડેલીમાં એક જ દિવસમાં દારૂ ભરેલી ગાડી અથડાવાની આ બીજી ઘટના છે. આ પહેલા વહેલી સવારે આંબા લોઢણ પાસે પણ આવી જ એક ઘટના બની હતી. આવી ઘટનાઓ દર્શાવે છે કે બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે. થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમ છતાં દારૂની આટલી મોટી માત્રામાં ઘુસણખોરી જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી શરૂ થશે. આ માટે બંને ટીમના ખેલાડીઓનું આવતીકાલે, 10 નવેમ્બર 2025ના રોજ, રાજકોટમાં આગમન થશે અને તેઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરશે. હોટલ સયાજી ખાતે ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ પર સજાવટની સાથે જ, તેમને ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી જેવી મનપસંદ વાનગીઓ પીરસવાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે અહીં યોજાનાર ત્રણેય મેચ નિહાળવા પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમશેભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. બેટિંગ પીચ હોવાથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશાતાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવાયાહોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવશે. આ હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે. માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ઇન્ડિયા-એ ટીમના ખેલાડીઓ તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કિષ્ના, ખલીલ અહેમદ સાઉથ આફ્રિકા-એ ટીમના ખેલાડીઓમાર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના માફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.
પાટણમાં પદ્મનાભજી રાત્રીમેળો:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મેળાની રંગત જામી
પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનો સપ્તરાત્રી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા છ દિવસથી ચાલી રહેલા આ રાત્રી મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતાં મેળાની રંગત જામી છે. કાર્તિકી પૂનમથી શરૂ થયેલા આ મેળામાં છઠ્ઠા દિવસે ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણી રહ્યા છે. પાટણ શહેર અને આજુબાજુના ગામોમાંથી આવેલા લોકોએ ચકડોળ, ચકરડી સહિતની વિવિધ રાઇડ્સમાં મનોરંજન મેળવ્યું હતું. આખો મેળો રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ખાણી-પીણીના સ્ટોલ પર પણ લોકોએ વિવિધ વાનગીઓની મજા માણી હતી.
રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે બ્રાહ્મણ સમાજમાં પણ સંગઠનાત્મક ચળવળ શરૂ થઈ છે. ગુજરાતમાં આશરે 70 લાખની વસ્તી ધરાવતો આ સમાજ રાજકીય અવગણનાનો ભોગ બનતો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે. ભાજપના શાસનકાળ દરમિયાન બ્રાહ્મણ સમાજના આગેવાનોને રાજકીય રીતે અવગણવામાં આવી રહ્યા હોવાના આરોપો વચ્ચે સમાજે સંગઠિત થવાનો નિર્ધાર કર્યો છે. આ સંદર્ભે સોમનાથ બ્રહ્મપુરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તુષાર પંડ્યા, સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ જયપ્રકાશ જાની, સુજલ પાઠક અને મિલન જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે રાજકીય ક્ષેત્રે સમાજની અવગણના અંગે ચર્ચા થઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે રાજ્યના 95 ટકા બ્રાહ્મણો ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં, મંત્રીમંડળ કે સંગઠન સ્તરે બ્રાહ્મણ નેતાઓને પૂરતું સ્થાન મળતું નથી. આ પરિસ્થિતિમાં બ્રહ્મ સમાજે સંગઠિત થઈને પોતાના રાજકીય હક્કો માટે આંદોલનાત્મક રીતે માંગણી કરવાનો સંકલ્પ લીધો છે. આ માંગણીઓને વાચા આપવા માટે રાજ્યભરના બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા 7 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે એક વિશાળ બ્રહ્મ સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ પરિવારોને જોડવા માટે વિવિધ જિલ્લાઓમાં બેઠકો યોજાઈ રહી છે. ગીર સોમનાથની બેઠકમાં સ્થાનિક આગેવાનોએ સમાજને આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી. રાજકીય નિષ્ણાતોના મતે, બ્રાહ્મણ સમાજનું આ સંગઠન રાજ્યના રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે. હાલ રાજકીય પક્ષોની નજર પણ બ્રહ્મ સમાજની આ ગતિવિધિઓ અને આગામી મહાસંમેલન પર કેન્દ્રિત છે.
છોટા ઉદેપુરમાં શિયાળાની શરૂઆતમાં જ ઠંડીનો પારો ગગડ્યો:લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા
છોટા ઉદેપુર જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ ઠંડીનો પારો ગગડ્યો છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ આજે અચાનક ઠંડીમાં વધારો થયો છે. આજે વહેલી સવારે 6 વાગ્યે તાપમાન ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. ઠંડીના આ ચમકારાને કારણે વહેલી સવારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા કરતા જોવા મળ્યા હતા.
વલસાડમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે ₹1.30 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે વલસાડ શહેર પોલીસ મથકે મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા વિરુદ્ધ BNSની કલમ 318(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પ્રવિણ પટેલ ડ્રાઇવર તરીકે કાર્યરત છે. આશરે એક વર્ષ પહેલા તેઓ વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છતા હતા. તેમના મિત્ર મુકેશ ભગુ પટેલ મારફતે તેમની ઓળખ વલસાડ સ્ટેશન રોડ પર આવેલી મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા સાથે થઈ હતી. ઈશ્વરભાઈએ પ્રવિણભાઈને મંગોલિયા ખાતેની “Respected Mega Engineering Infrastructures Ltd.” કંપનીમાં હેવી ડ્રાઇવર તરીકે નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. આ માટે તેમણે કુલ ₹1.30 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પ્રવિણભાઈએ ઈશ્વરભાઈ ભરૂચાના બેંક ખાતામાં કુલ ₹1.30 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. જેમાં 29 નવેમ્બર 2024ના રોજ ₹50 હજાર અને 12 ડિસેમ્બર 2024ના રોજ ₹80 હજારનો સમાવેશ થાય છે. આ રકમ મળ્યા બાદ, ઈશ્વરભાઈએ વોટ્સએપ દ્વારા ઓફર લેટર, વિઝા અને એરટિકિટ મોકલ્યા હતા. જોકે, મુસાફરીના નિર્ધારિત સમય પહેલાં ઈશ્વરભાઈએ 'ટિકિટ કન્ફર્મ નથી' તેમ કહી પ્રવાસ રદ કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રવિણભાઈને નોકરી કે પૈસા પરત આપ્યા નહોતા. પાસપોર્ટ પરત મળ્યા છતાં પૈસા પરત ન મળતા, પ્રવિણભાઈ પટેલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વલસાડ શહેર પોલીસે આ છેતરપિંડીના મામલે ઈશ્વરભાઈ ભરૂચા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, આ પેકેજમાં માછીમારોને બાકાત રાખવામાં આવતા અમરેલીના જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાગરખેડૂતોએ સરકાર સમક્ષ ખેડૂતોની જેમ જ રાહત પેકેજ આપવાની માંગ કરી છે. જાફરાબાદ બંદર પર મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે અને તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે સૂકવેલી માછલીઓમાં જીવાત પડી જતાં તેને ફેંકી દેવાની ફરજ પડી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે ધરતીપુત્રોની સાથે સાગરખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે. જાફરાબાદના માછીમાર આગેવાન કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, સરકાર દ્વારા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. માછીમારો ત્રણ દિવસ સુધી માછલી સૂકવીને વેચે છે, પરંતુ વરસાદને કારણે જીવાત પડતાં તેને ફેંકી દેવી પડે છે. એક એક માછીમારને ઓછામાં ઓછું 1 લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે, અને જાફરાબાદમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સોલંકીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે અમને 'સાગર ખેડૂત' બનાવ્યા છે, તો ગુજરાત સરકારે પણ ખેડૂતોની જેમ સાગર ખેડૂતોને 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમાન રાહત આપવી જોઈએ. જ્યારે સરકાર દરિયામાંથી પરત બોલાવે ત્યારે અમે તરત જ બોટ પરત લાવીએ છીએ, જેમાં અમારું ડીઝલ બળે છે. માછીમારોને જીવતા રાખવા માટે સરકારે કોઈક પેકેજ આપવું અત્યંત જરૂરી છે. અન્ય માછીમાર આગેવાન બશીરભાઈએ સરકારને વિનંતી કરતા જણાવ્યું કે, અમે વીસ વીસ વર્ષથી ભાજપ સરકારને મતદાન કરીએ છીએ અને તેમની સાથે છીએ. ડીઝલ માટે ચાર-પાંચ વખત ટોકન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અમને ૩૦૦ થી ૪૦૦ લિટર ડીઝલની જરૂર પડે છે. જાફરાબાદ એક જ ટોકનનું પાલન કરે છે. સાગરખેડૂતોને પણ 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમાન સહાય મળવી જોઈએ.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આધેડ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે રાત્રિ દરમિયાન એન્ટ્રી કર્યા વગર એક ડિલિવરી બોય ફ્લેટ અંદર પ્રવેશતા તેને અટકાવતા રોષે ભરાયો. બોલાચાલી બાદ ડિલિવરી બોય અને બહારથી આવેલા તેના પિતાએ મળીને ગાર્ડને માર માર્યો અને મેઈન ગેટનું બેરિયર પણ તોડી નાખ્યું હતું. ડિલિવરી બોયે તેના મિત્રોને બોલાવ્યા હતા અને એક વ્યક્તિએ છરી વડે આધેડને હાથ અને આંખ પાસે ઈજા પણ પહોંચાડી હતી. સમગ્ર મારામારી અને તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ હતી. સરખેજ પોલીસે ડિલિવરી બોય અને અન્ય પાંચ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. ડિલિવરી બોય એન્ટ્રી વગર પ્રવેશ કરતા સિક્યુરિટી ગાર્ડે ટોક્યોસરખેજમાં રહેતા 52 વર્ષીય મહમંદ સમીર શેખ સરખેજ ફતેવાડીમાં આયમન 52માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ રાતના સમયે નોકરી પર હાજર હતા, ત્યારે ફ્લેટ બહાર દુકાનની લાઇટ બંધ કરવા ગયા હતા ત્યારે એક ઝેપટો કંપનીનો ડિલિવરી બોય મેઈન ગેટ તરફ આવતો હતો. જેને સમીરભાઇએ ઊભો રાખ્યો હતો અને કહ્યું કે એન્ટ્રી કર્યા વિના અંદર કેમ ગયો. ડિલિવરી બોયે કહ્યું કે, તમે હાજર નહોતા તો ડિલિવરી કરવા નહીં જવાનું. જેથી સમીરભાઈએ કહ્યું કે, હવે પછી એન્ટ્રી કર્યા વગર ગેટમાં પ્રવેશ કરવો નહીં. ડિલિવરી બોયના પિતાએ લોખંડની પાઇપ વડે હુમલો કર્યોબાદમાં ડિલિવરી બોય સિક્યુરિટી ગાર્ડ સમીરભાઈ સાથે બોલાચાલી કરી મારામારી કરવા લાગ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ બહારથી આવ્યો અને કહેવા લાગ્યો કે, કેમ મારા દીકરા સાથે બોલાચાલી કરે છે. કહી મેન ગેટનું બેરિયર તોડીને આવ્યો અને સમીરભાઈ સાથે મારામારી કરી લોખંડની પાઇપ દ્વારા સમીરભાઈને માર મારવા લાગ્યો હતો. જે દરમિયા આસપાસના લોકો ભેગા થઈ જતાં સમીરભાઈને વધુ માર મારવાથી છોડાવ્યા હતા. આરોપીએ અન્ય સાગરીતોને બોલાવી લાવી ફરી માર માર્યોસમીરભાઈ એ-બ્લોકની સીડી તરફ જતા રહ્યા ત્યારે ડિલિવરી બોય તેના અન્ય સાગરીતો સાથે ફરી આવ્યો અને સમીર ભાઈને માર મારવા લાગ્યો હતો. એક વ્યક્તિ છરી લઈને આવ્યો હતો જેણે સમીરભાઈને હાથ ઉપર અને આંખ પાસે છરી પણ મારી હતી. મારામારી દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા જેમણે સમીરભાઈને છોડાવ્યા હતા. સમીરભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ડિલિવરી બોય અને અન્ય પાંચ સામે ગુનો નોંધ્યોસમીરભાઈએ ડિલિવરી બોય અને અન્ય પાંચ વ્યક્તિઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર મારામારી અને તોડફોડની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પગલાં લેવા માંગણી:પાલનપુરના ગોબરી રોડ પર જાહેરમાં નાખી, બાળીને પ્રદૂષણ ફેલાવાય છે
પાલનપુર થી જગાણા ગામ તરફ જતા ગોબરી રોડ પર માર્કેટ યાર્ડ નજીક જાહેર માર્ગ પર કચરો ઠાલવવામાં આવે છે જોકે આ કચરો ઉઠાવવા માટેની સેનિટેશન વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહિશો રોજ અહીં કચરો બાળીને પ્રદુષણ સર્જે છે. આસપાસની સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્તિ કરતાં જણાવ્યું કે અવારનવાર અહીં કચરો સળગાવવામાં આવે છે ક્યારેક ક્યારેક તો ટાયર પણ સળગાવવામાં આવે છે. શિયાળામાં સાંજના સમયે ધુમાડો ઉપર જતો નથી અને હવામાં નીચેજ ફરતો રહે છે અને રોજ રોજ આ રીતે કચરો બળવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. સેનીટેશન શાખા દ્વારા જાહેરમાં કચરો સળગાવવાની કામગીરી કરતા તત્વો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
ખાતર ડેપો પર કતારો:અમીરગઢમાં શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર છતાં ખાતરની અછત
અમીરગઢ તાલુકામાં શિયાળુ પાકની વાવણી જોરશોરથી ચાલી રહી છે. ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાક માટે યુરિયા ખાતરની માંગમાં ભારે વધારો થયો છે. પરંતુ હાલ તાલુકાના વિવિધ ખાતર ડેપો પર ખાતરની અછતના કારણે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહીને ખાતર મેળવવા મથામણ કરી રહ્યા છે. અમીરગઢ તાલુકામાં હાલ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર શરૂ થતાં ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.આ તાલુકામાં ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાકનું મોટા પાયે વાવેતર થયું છે. આ પાકોને વાવણી સમયે તેમજ વાવણી પછી પણ યુરિયા ખાતર જરૂરી રહે છે. હાલ પુરવઠાની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અરણીવાડા ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,સારા વરસાદને કારણે આ વર્ષે યુરિયા ખાતરની થોડી શોર્ટેજ જોવા મળી રહી છે. સરકારને વિનંતી છે કે અગાઉના વર્ષોની જેમ તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરીને ખેડૂતોને રાહત આપવામાં આવે.
કામગીરી:પાલનપુર મીરા દરવાજા બગીચો તોડી હવેઅંડર ગ્રાઉન્ડ સંપ અને ટાંકી બનાવવાનું શરૂ
પાલનપુર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવા સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ મીરા ગેટ બગીચો તોડીને હવે અહીં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવનાર છે. જેને લઇ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ પાલિકાની સાધારણ સભામાં પીવાના પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે નવા ટાંકા અને સંપ મંજૂર કરવામાં આવ્યા હતા. જેને લઇ કામગીરી ચાલી રહી છે. સંગ્રહ ક્ષમતા વધતા પીવાના પાણીની જે જરૂરિયાતો છે તે આવનારા સમયમાં પહોંચી વળાશે.
કાર્યવાહી:5 કરોડની નશીલી દવાઓ વેચી દેનાર કંપનીનું આરોપી દંપતી ઝબ્બે
બનાસકાંઠામાં નશીલા પદાર્થોના કાળા વેપાર મામલે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો (CNB)ની નિમચ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર દવાઓના ઉત્પાદન અને વિતરણના કેસમાં વધુ બે આરોપીઓ અમદાવાદની એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક પત્ની સમીક્ષા મોદી અને તેના પતિ માર્કેટિંગ ડાયરેકટર સુનિલ મોદીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂ. 3.80 લાખ રોકડા અને દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુનિલ મોદી અને સમીક્ષા મોદીએ નશીલી દવાઓના વેચાણ માટે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાઓના યુવકોનો સંપર્ક કર્યો હતો. ધાનેરા અને થરાદથી અગાઉ જે બે યુવકો ઝડપાયા હતા તે હાલ પાલનપુર ની જેલમાં છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યાંથી અંદાજે 5 કરોડ રૂપિયાની પ્રતિબંધિત દવાઓ જપ્ત કર્યો હતો. તે પછીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપીઓએ અમદાવાદની એન.ડી. ફાર્માસ્યુટિકલ કંપની ખોલી NDPS એક્ટ હેઠળની દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાય કર્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે નશીલી અને ગર્ભપાત માટે પ્રતિબંધિત દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓના ઘરો અને ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓ સહિત 3.80 લાખ રૂપિયાની રોકડ રકમ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી. પોલીસ તપાસ મુજબ અત્યાર સુધી આરોપીઓએ પાંચ કરોડની 42.51 લાખ ટેબ્લેટ માર્કેટમાં વેચાણ કરી દીધી છે. ઉપરાંત 15500 કોડીન દવા પણ માર્કેટમાં સપ્લાય કરી છે. સમગ્ર કાર્યવાહી બાદ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમ અમદાવાદથી દંપતીની ધરપકડ કરીને પાલનપુરની કોર્ટમાં રજૂ કરી 7 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોના અધિકારી પ્રવીણ ધૂલે જણાવ્યું કે અમે જ્યારે થરાદ અને ધાનેરાથી આરોપીઓને પકડ્યા એના પછી જે દવાઓ મળી હતી તે લેબમાં પરીક્ષણ કરાવ્યું હતું અને તેમાં પ્રતિબંધિત ડ્રગ હોવાનું સામે આવ્યું હતું. અમે ત્યારથી જ દવાઓનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેને લઈ આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. આખરે અમને સફળતા મળી છે. નશીલા પદાર્થોના નેટવર્કમાં જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે. અમદાવાદના ગોતામાં 2017માં ફાર્મા કંપનીની ઓફિસ ખોલી, ત્રણ વર્ષથી NDPS ડ્રગનું વેચાણ ચાલુ કર્યું હતું જુલાઈ 2017 માં સમીક્ષા સુનિલકુમાર મોદીએ રિટેલ બિઝનેસ અને હોલસેલ બિઝનેસમાં કંપનીનું રજીસ્ટ્રેશન કરાવ્યું. વાર્ષિક 10 કરોડના ટર્ન ઓવરની એનડી ફાર્માસ્યુટિકલ્સ કંપની ગોતામાં શરૂ કરીને શરૂઆતના વર્ષોમાં ફાર્મા કંપનીની દવાઓ સપ્લાય કરતા પરંતુ પાછલા ત્રણ વર્ષથી માર્કેટમાં પ્રતિબંધિત દવાઓ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અત્યાર સુધી પાંચ કરોડ ની 42.51 લાખ ટેબલેટ માર્કેટમાં સપ્લાય કરી વેચી હોવાનો ખુલાસો નાર્કોટિક્સ બ્યુરો એ કર્યો છે.
અટકાયત:વરાણા પાસેથી 2.58 લાખનો દારૂ ભરેલી ક્રેટા ગાડી પકડાઈ
સમી રાધનપુર હાઇવે પર વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એલસીબીએ રૂ.2,58,960ના પર પ્રાંતીય દારૂનો જથ્થો ભરેલી ક્રેટા ગાડી પકડી પાડી હતી. દારૂ સાથે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી હતી. જોકે દારૂનો જથ્થો ભરી આપનાર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ છે. પાટણ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે મળેલી બાતમી આધારે વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એક ક્રેટા ગાડી પકડી હતી તેમાં તપાસ કરતા રૂ.2,58,960ની પરપ્રાંતિય દારૂની 1200 બોટલ મળી આવી હતી જેને પગલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના લાલપુર ગામના મહેન્દ્રસિંહ તનસિંગ રત્નુની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર ભવાની સિંહ જોધપુર તેમજ વીરાવાના શ્રીરામ બિશ્નોઇ અને છાણિયાથર ગામના મહેશ માતમભાઈ ભરવાડ સામે સમી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારૂ, ગાડી અને મોબાઇલ મળી કુલ રૂ.12,88,960નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો
ચાર શખ્સો પકડાયા:રાધનપુર પંથકમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરેલા કેબલના જથ્થા સાથે ચાર શખ્સો પકડાયા
રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ માંથી ચોરાયેલા કેબલ સાથે રાધનપુર પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા હતા તેમની પાસેથી રૂ.35,000નો કેબલનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરી રાધનપુરમાં ભંગારના વાડામાં આપી દીધો હતો. રાધનપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો સોલાર પ્લાન્ટ માંથી કેબલ વાયરની ચોરી કરી રાધનપુર બજાજ શોરૂમની બાજુમાં આવેલા રામદેવ સ્ક્રેપ નામના ભંગારના વાડામાં ચોરી કરેલો કેબલ વેચ્યો છે જેને પગલે પોલીસે તે ભંગારના વાડામાં તપાસ કરતા ભરત જેઠાભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો જેની પોલીસે પૂછપરછ કરતા કેબલ નો જથ્થો ભાડીયાના વિપુલ વિનોદભાઈ ઠાકોર શ્રવણ વીરચંદભાઈ ઠાકોર પરેશ અમરતભાઈ ઠાકોર આપી ગયા હોવાનું જણાવતા પોલીસે તે ત્રણેય શખ્સો સાથે રાધનપુરના ભરત જેઠાભાઇ મકવાણાની અટકાયત કરી હતી અને રાધનપુર પોલીસ મથકે ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કોંગ્રેસની માગ:પાટણ પાલિકાનું જેટિંગ મશીન અન્ય જિલ્લાના ગામે મોકલતા હોવાની રાવ
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા માટેનું પાલિકાનું જેટીંગ મશીન શહેરમાં ઉપયોગ કરવાના બદલે શહેરથી દૂર અન્ય જિલ્લાનાં ગામે મોકલાતા હોવાની રાવ સાથે શહેર કોંગ્રેસે નિયમ વિરુદ્ધ મશીન મોકલવા બદલ કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણ શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યા હતા કે શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી હોય છતાં કામગીરી કરવામાં આવી રહી નથી પરંતુ પાલિકા દ્વારા 6 નવેમ્બરના રોજ દિવસભર ઊંઝા તાલુકાના વિશોળ ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઇ માટે પાટણ નગરપાલિકાનું જેટીંગ મશીન મોકલ્યું હતું. આ સમયે શહેર વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા વધી હોય નાગરિકોને વારંવાર રજૂઆત કરવા છતાં જેટીંગ મશીન ઉભરાતી ગટરોની ચેમ્બરમાં ઉપયોગમાં આવ્યું નહોતું. પરતું અન્ય જિલ્લાના ગામોમાં કામ માટે મોકલાઈ રહ્યું છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે પાટણની જનતા દ્વારા માંગણી કરાતી હોવા છતાં જેટીંગ મશીન અપાતું નથી. નગરપાલિકામાંથી જેટીંગ મશીનને બહારગામ મોકલવા માટે કોઇપણ જાતનો ઠરાવ કરાયો નથી અને બહારગામ મોકલવા માટેની કોઇપણ કિંમત નક્કી કરી નથી.તેમ છતાં પાટણ નગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર સાફ સફાઇ કરવાનું જેટીંગ મશીન ઊંઝાના વિશોળ ગામે કોના દ્વારા મૌખિક-લેખિત હુકમ કર્યો તે બાબતે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ.
ભાસ્કર ઈનસાઈડ:પાટણમાં નવા બસ સ્ટેન્ડ પાસે ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારતાં યુવકનું મોત થયું
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબામહોડા ગામના વતની અને પાટણનાં ધારપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતાં યુવક 25 વર્ષીય આકાશભાઈ પંકજભાઈ સોલંકી 6 નવેમ્બર, 2025ના રોજ સાંજે 6:00નાં સુમારે પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક નવા બસસ્ટેન્ડ પાસેથી તેમના મિત્રનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતાં તે વખતે ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે આકાશભાઈને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર માટે તેમને મહેસાણા રીફર કરાયા હતા, જ્યાં મહેસાણાની ભગવતી ICUમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આકાશ સોલંકીએ અકસ્માત થયાની જાણ તેમના બનેવી પ્રવીણભાઈ તરાલને ફોન કરીને કરી હતી. પ્રવીણભાઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવે છે અને આકાશ તેમની સાથે જ ધારપુર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. પ્રવીણભાઈ મૂળ ખેડબ્રહ્માના મોટાબાવળ ગામના વતની છે. આ બનાવ અંગે પાટણ બી ડિવિઝન પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બેફામ દોડતાં ડમ્પરોથી થતાં અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે છતાં તંત્ર દરકાર લેતું નથી બનાસ નદીમાંથી રેતી ભરી ઊંઝા, મહેસાણા, અમદાવાદ સુધી બેફામ દોડતાં ડમ્પરોના કારણે પાટણ અને સરસ્વતી પંથકમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. પાટણમાં જ સિદ્ધપુર ચોકડી, ઊંઝા ત્રણ રસ્તા, ધારપુર સિવિલ હોસ્પિટલ, શિહોરી ત્રણ રસ્તા, લીલીવાડી સહિતના વિસ્તારમાં ડમ્પરોનાં અકસ્માતોની ઘટના બની ચુકી છે. ડમ્પર સાથે થતાં અકસ્માતમાં લોકોના મોત થવાની ઘટનાઓ વધારે બને છે. અકસ્માતો ઘટે તે માટે તંત્ર દ્વારા કોઈ ગંભીરતા પૂર્વકનાં પગલાં લેવાતાં નથી.
આમને-સામને:પાટણ પાલિકામાં ભાજપના સભ્યોના બે જૂથો પ્રદેશકક્ષાએ સામસામે રજૂઆત કરતાં વિવાદ વધુ વકર્યો
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભામાં એજન્ડા ઉપર કામોના લેવાના મુદ્દે સત્તા પક્ષ ભાજપની બોડીમાં શરૂ થયેલો વિવાદ શાંત પડવાના બદલે હવે બે જૂથમાં આમને સામને આવી એકબીજા ઉપર ગંભીર આરોપો મૂકી બન્ને જૂથ અલગ અલગ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને કાર્યવાહી અંગે રજૂઆત કરતા વિવાદ વધુ વકર્યો છે. જેમાં જાહેરમાં સભ્યો વિકાસના કામના બદલે અંગત કામો સૌને રસ હોવાના એકબીજા સામે નિવેદનોના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થતા લોકોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.જેમાં ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળીને વિકાસના કામો અટકાવી રહ્યા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. સામે પક્ષે ભાજપના સભ્યો દ્વારા વળતા પ્રહાર રૂપે પાલિકા પ્રમુખ દ્વારા પોતાના અંગત કામો કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેમ જ તેમના ગ્રુપના સભ્યો પણ ભ્રષ્ટાચાર કરતા હોય તેના પુરાવા પણ હોવાના રાવ સાથે તેમની સામે કાર્યવાહી કરવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિકા પ્રમુખ સામે કાર્યવાહી કરવા શૈલેષ પટેલ, મનોજ પટેલ, મુકેશ પટેલ મનોજ કે.પટેલ, હિના શાહ, બિપીન પરમાર, નરેશ દવે, સ્મિતા પટેલ, આશા ઠાકોર, રાજેન્દ્ર હિરવાણી, રમેશ પટેલ,ધર્મેશ પ્રજાપતિ,અનિલા મોદી 12 કોર્પોરેટરો સહીઓ કરી છે. ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળી કામો અટકાવી રહ્યા છે : નગર પાલિકા પ્રમુખપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ભાજપના જ 6 નગરસેવકો વિકાસ વિરોધી ટોળકી બની વિરોધ કરી રહી છે.જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના આ 6 નગરસેવકો વિકાસનાં કામોમાં રોડા નાખતાં આવ્યા છે.જે કોંગ્રેસના 5 સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે વિકાસના કામો નામંજૂર કરાવે છે.જેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો છે તેના પુરાવા હોય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે : સભ્યો પાટણ નગરપાલિકાના સભ્યોના ગૃપ પૈકીના કોર્પોરેટર મનોજ પટેલે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ તેમના ગુરુજી કહે તે પ્રમાણે નિવેદન બાજી કરી રહ્યા છે. આ પ્રમુખ પાટીદાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. અગાઉ પણ તેમણે પાલિકાના 10 કર્મચારીઓની બદલી કરી હતી. તેમાંથી 8 પાટીદાર હતા.પ્રમુખ મોટા ભ્રષ્ટાચાર કર્યા છે.જેના પુરાવા ફોટા સ્વરૂપે અને વીડિયો સ્વરૂપે છે.તેમની સામે પગલાં ભરવા માટે અમો 20 જેટલા સભ્યોએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરી છે પાલિકા પ્રમુખની વિરોધમાં ભાજપના આ 6 સભ્યોકોર્પોરેટર શૈલેષ પટેલ,મનોજ પટેલ,મુકેશ પટેલ,મનોજ એન.પટેલ,બિપીનભાઈ નરેશ દવે
ટ્રાફિક જામ:બલોલ રોડ પર ખાડો કરવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં ટ્રાફિક
હાલ પાલાવાસણા-કાલરી હાઇવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને મીઠાથી કાલરી સુધીના રોડ પર ગણ્યે ગણાય નહીં તેટલા ખાડા પડેલા છે. જેને કારણે એસટી સહિતનાં વાહનોને સર્પાકાર ચલાવવા પડે તેવી જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં શનિવારે બપોરે બલોલ પાસે રોડ પર પાઇપલાઇન માટે ખાડો ખોદવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં બંને બાજુ અડધો કિમી જેટલી વાહનોની લાઇન લાગી હતી. અડધા કલાક સુધી ટ્રાફિક બંધ રહેતાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.
મુસાફરો મુશ્કેલીમાં:મહેસાણા રેલવે સ્ટેશનના શૌચાલય બંધ
મહેસાણા રેલવે સ્ટેશન પર આવેલા મહિલા અને પુરુષ શૌચાલય છેલ્લા 10 દિવસથી તાળાબંધ હોવાથી મુસાફરો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને મહિલા મુસાફરો માટે આ સ્થિતિ વધુ તકલીફજનક બની છે. સ્ટેશન પર આવનારા મુસાફરોને સ્વચ્છતા અને આરામની સુવિધાનો અભાવ અનુભવાઈ રહ્યો છે. મુસાફરોએ રેલવે અધિકા રીઓને શૌચાલય ખુલ્લા કરવા માંગ કરી હતી.
મહેસાણાના મુખ્ય હાઇવે પર બની રહેલા બ્રિજના કામને લઇ નાગલપુર પાટિયા પાસે વાહન વ્યવહારમાં ફેરફાર કરાયો છે. શનિવારે નાગલપુર પાટિયાની બીજી બાજુ પણ નવું ડાયવર્ઝન શરૂ કરાયું છે. મહેસાણાથી અમદાવાદ તરફ જતાં વાહનોને હવે મોઢેરા અંડરપાસથી નીકળ્યા બાદ પસાભાઇ પેટ્રોલપંપથી સર્વિસ રોડ થઇ વિકાસનગર પાટિયા સુધી જવાનું રહેશે. જ્યારે અમદાવાદ તરફથી આવતાં વાહનોને વિકાસનગર પાટિયાની સામેથી પકવાન હોટલ સુધી સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, નાગલપુર પાટિયા પર સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રહેશે, જેથી હાઇવેની બંને બાજુથી આવતાં વાહનો નાગલપુર તથા બાયપાસ સુધી અવરજવર કરી શકશે. હજુ નાગલપુર પાટિયા નજીકનો રોડ અગાઉથી જ ખરાબ હાલતમાં હોઇ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. તેવામાં હવે ડાયવર્ઝન લંબાતાં રોંગ સાઇડથી આવતાં વાહનો અને આડેધડ પાર્કિંગના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.
કાર્યવાહી:કટોસણ રોડ માંથી 3.67 લાખનો દારૂપકડાયો
દેત્રોજ પોલીસ નાઈટ રાઉન્ડ પ્રેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાથે બાતમી આધારે કટોસણ રોડ બજારમાંથી ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-1080 કિં. 3.67 લાખનો મુદ્દામાલ સાથે કુલ કિં.18,97,200ના મુદ્દામાલ સાથે ભજનલાલ બાબુલાલ બિશ્નોઈ (32) સો. રોહિલા વેસ્ટ તા.ધોરીમના જિ.બાડમેર રાજસ્થાન અને મુકેશ ભગવાનારામ બિશ્નોઈ (25)રહે. પુનાસા તા. ભીનમાલ જિ. જાલોરને પકડી લીધા હતા.
કમોસમી વરસાદે મહેસાણા જિલ્લાની 68907 હેક્ટરના પાકને અસરગ્રસ્ત કર્યો છે. જ્યારે 27686 હેક્ટરના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે. પાક નુકસાનીના સર્વે બાદ શુક્રવારે સરકારે રૂ.10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ચાર મહિનાની માવજત બાદ છેલ્લી ઘડીએ ખેડૂતોના મોંનો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો છે. પાકની સાથે તેમાંથી નીકળતો ઘાસચારો પણ નથી બચ્યો. આ સ્થિતિમાં આર્થિક નુકસાનની સાથોસાથ હવે પશુઓને પૂરતો ઘાસચારાનું ગણિત પણ ખોટકાયું છે. એક બાજુ સિઝન બગડવાનું દુ:ખ અને બીજી બાજુ પશુઓની ઘાસચારાની ચિંતા કરતાં ખેડૂતો સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સહાયને લઇ વાતચીત કરી હતી. જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.22 હજારની સહાય ઓછી લાગી છે અને ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયાનું દેવું માફ કરવા કે સહાયની આ રકમમાં વધારો કરવા કહી રહ્યા છે. આ સહાય નહીં ખેડૂતોની મશ્કરી છેસરકારે જાહેર કરેલ રકમ બિલકુલ યોગ્ય નથી. કારણ આ સહાય નહીં પણ ખેડૂતોની મશ્કરી કરી છે. હાલ ખેડૂતોની સ્થિતિ માવઠું પડ્યા પછી બહુ જ ગંભીર છે. પાક બગડવાની સાથે ભાવ પણ મળતા નથી, પાકનો યોગ્ય ભાવ અને પૂરેપૂરું વળતર મળે તો જ સહાય મળી કહેવાય>. અલ્પેશભાઇ સાંકળચંદ પટેલ, ફતેહ દરવાજા, વિસનગર ખેતી ખર્ચ સામે સહાય બહુ જ ઓછીસરકારે જાહેર કરેલી સહાય ખેતી કરવામાં થતાં ખર્ચ સામે બહુ જ ઓછી છે. કમોસમી વરસાદથી કપાસ, તલ અને ગવારના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવી પડી છે. સરકાર દ્વારા દવાઓ, ખાતર સબસિડી વધારવી જોઇએ અને વીજળીમાં હોર્સપાવરનો ભાવ ઘટાડવો જોઇએ.> પટેલ ગાંડાભાઇ ત્રિભોવનભાઇ, કુવાસણા, તા. વિસનગર ખેડૂતોને વ્યાજ સહાય કરવી જોઈએ કોઈ સરકારે દેવું માફ કરાય જ નહીં. સબસિડી, બિયારણ, વ્યાજ સહાય કરવી જોઈએ. સરકાર સહાય આપવાનું આયોજન કેવી રીતે કરશે એ સમજાતું જ નથી. જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતને સહાય આપે જ છે તો એ પ્રમાણે રાજ્ય સરકાર સીધી ખેડૂતને સહાય બેન્ક ખાતામાં આપી શકે છે.> વિષ્ણુભાઈ પટેલ, કોલાદ, ઘાસચારો ખરીદવા પૈસા નથી બોરતવાડાનાં ખેડૂત મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે માવઠું થતાં ઘાસચારો સહિત મુખ્યત્વે અડદ મગ ગવાર જેવા પાક નિષ્ફળ ગયા છે.તેમાંય ખાસ કરીને પશુઓ માટે ખેતરોમાં કાપણી કરેલો તૈયાર ઘાસચારો પલડી જતાં ખરાબ થઈ ગયો છે. સહાય આભને થીગડું માર્યા બરાબરસરકારે કરેલી સહાય આભને થીગડું માર્યા બરાબરછે. ખેડૂતોના ખર્ચાની સામે આ કંઇ જ નથી. ખેડૂતોજે દવા, ખાતર અને બિયારણ ઉપર જીએસટી લે છેતે પ્રમાણે વળતર મળતું નથી. કમોસમી વરસાદથીચોમાસુ પાકો બગડ્યા છે અને નવા પાકના વાવેતરમાટે સમય રહ્યો નથી. સરકાર ખેડૂતોની મંડળીઓ કેબેન્કોની લોન માફ કરે તો જ સાચી સહાય ગણાય.> તુષારભાઇમોહનભાઇ પટેલ, વાલમ, તા.વિસનગર આટલી સહાયથી વાવેતર ખર્ચેય ન નીકળેમગફળીનો પાક નિષ્ફળ ગયો છે, ઘાસચારો પણ નથી બચ્યો. કોઇ પણ સરકાર ખેડૂતને ક્યારેય પૂરતું વળતર આપી ન શકે. સરકાર જે વળતર આપશે તે ઘાસચારાની ખરીદીમાં ટેકો સાબિત થશે. આટલી સહાયથી ખેડૂતોનો વાવેતરનો ખર્ચ પણ ન નીકળે. સરકાર જે આપે તે ખરું. > ચૌધરી ડાહ્યાભાઇ મોતીભાઇ, મેઉ, તા.મહેસાણા ગઈ સિઝનનું નુકસાન હજુ મળ્યું નથીકડી તાલુકામાં ડાંગરના પાકને ખૂબ નુકસાન થયું છે. 10 હજાર કરોડના સહાય પેકેજમાં કડી તાલુકાના ખેડૂતોને શું મળશે. ગઈ સિઝનમાં નુકસાન થયેલું એ પણ હજુ ચુકવ્યું નથી.> પ્રવિણ પટેલ, માણેકલાલ પટેલ, કડી ખેતરમાં બટાટાનું વાવેતર ફેલ થયુંદાંતીવાડા તાલુકાના રતનપુર ગામના મિથુનજી ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતો માટે જે સહાય મંજૂર કરાઇ છે, તે પૂરતી નથી. પુર અને બાદમાં કમોસમી વરસાદથી વાવેતર નિષ્ફળ ગયા ખેડૂતો પાયમાલ બની ગયા છે. જેના લીધે આર્થિક વ્યવહારો સચવાઈ શકે તેમ નથી. વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું હતું, તે પણ કમોસમી વરસાદથી ફેલ ગયું છે.હવે ફરી ખર્ચ કરી ખેતી કરવી પડશે.સરકાર હેકટર દીઠ સહાયની રકમ વધારે એવી અમારી માંગ છે. ઘાસચારો ખરીદવા પૈસા નથી : ખેડૂત
ગૌરવની વાત:ડૉ. મેહુલ જાનીનું સ્પેન ખાતે ભાવનગરનું ગૌરવ વધારતું આમંત્રણ
ડૉ.મેહુલ જાનીને ડેન્ટલ ટ્રિટમેન્ટ ક્ષેત્રે ઓરલ રિહેબિલિટેશનમાં ક્રાંતિ લાવી રહેલી આધુનિક કોર્ટિકોબેસલ (KOS) ઇમ્પ્લાન્ટ્સ ટેક્નોલોજી પર એક વિશેષ કોર્સ લેવા માટે સ્પેન ખાતે વક્તા અને ટ્રેનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય આમંત્રણ ખરેખર ભાવનગર માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે ડૉ. જાનીને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક જગતની મુખ્ય વ્યક્તિઓ, જેમ કે સેવિલા યુનિ.ના ચાન્સેલર, કોલેજના ડીન અને સ્પેનિશ સોસાયટી ઑફ ઇમ્પ્લાન્ટોલોજીના પ્રમુખ, સાથે વાતચીત કરવાની અદ્ભુત તક મળી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે તબીબી અને ડેન્ટલ તાલીમના ભવિષ્યની દિશા તેમજ નવીનતમ વલણો વિશે ખૂબ જ ફળદાયી ચર્ચા કરી હતી. વધુમાં, ડૉ. જાનીને એક ખૂબ જ વરિષ્ઠ ડૉક્ટર સાથે વાત કરવાનો સન્માન મળ્યું હતું, જેઓ ડૉ. પેર-ઇન્ગવાર બ્રાનમાર્ક (આધુનિક ઇમ્પ્લાન્ટોલોજીના પિતા)ના સીધા વિદ્યાર્થી હતા. આ અંગે ડૉ. જાનીએ જણાવ્યું કે, જેમણે ઇમ્પ્લાન્ટોલોજીના ઉદ્ભવનો જાતે અનુભવ કર્યો હોય, તેમની સાથે ચર્ચા કરવી એક ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. કોર્સમાં હાજરી આપનાર ડૉક્ટરોનો સમૂહ અસાધારણ હતો, ખાસ કરીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજીમાં માસ્ટર્સ કરી રહેલા વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, ઉત્સાહ અને ચર્ચાનું સ્તર ઉત્કૃષ્ટ હતું. તેઓએ કોર્ટિકોબેસલ ઇમ્પ્લાન્ટોલોજી (KOS)ના સિદ્ધાંતોને ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. સ્પેનમાં આપેલ તેમના સફળ લેક્ચર બાદ, ડૉ. મેહુલ જાનીને પ્રતિષ્ઠિત સેવિલા યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી અને ટ્રેનર તરીકે જોડાવા માટે આમંત્રિત કર્યા છે. ડૉ. જાનીનું આ આંતરરાષ્ટ્રીય સન્માન તેમની નિપુણતાને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવે છે અને ભાવનગરનું ગૌરવ વધારે છે.
ધમકી આપી:આડાસંબંધની શંકાએ દંપતિને ધમકી આપી
ભાવનગર જિલ્લામાં આડાસંબંધની શંકાએ ધાક ધમકીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેથી દાંમ્પત્ય જીવનમાં પણ ખલેલ સર્જાઈ છે. આવો જ એક કિસ્સો તળાજામાં તાજેતરમાં નોંધાયો હતો. તળાજા પંથકમાં રહેતા એક મહિલાને તેના ખેતર માલિક સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી કઠવા ગામે રહેતો ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમાએ મહિલાને ખેતરના માલિક સાથે સંબંધ નહીં રાખવાનું જણાવી, મહિલા તેમજ તેના પતિને ધારીયાથી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મહિલાના યુવક સાથેના આડાસંબંધના ફોટો તેમજ વિડીયો કુટુંબીઓને દેખાડવાનું કહી, ચારીર્ત્રય ઉપર જેમતેમ બોલતા મહિલાએ કઠવા ગામના ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમા વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બિસ્માર માર્ગ:સિહોરમાં અત્યંત બિસ્માર થયેલા રોડથી રહીશો ત્રસ્ત
સિહોર નગરપાલિકા પાછળના ભાગમાંથી ભાવનગર રાજકોટ રોડનો ડાયવર્જન અહીં કાઢવામાં આવેલ ત્યારે પણ ખૂબ મરામત કર્યા બાદ વાહનો ચાલતા થયા હતા તેમજ પાણી લાઇન,ગટર લાઇન વગેરેના ખોદકામ બાદ હાલ આ રોડ અત્યંત ખરાબ થઈ ચૂક્યો છે નાના વાહન ચાલકો વારંવાર વાહનો પરથી ગબડી રહ્યા છે એક બાજુ ગટરના પાણી વહેતા થઈ ગયા છે છતાં કોર્પોરેટરોના પેટના પાણી હાલતા નથી. આ વોર્ડમાં આવતી સોસાયટીઓ પુનિત નગર,શિવશક્તિ, આંજનેય પાર્ક,વૃંદાવન,કૈલાસનગર,શ્રીજી નગર,કેશવ પાર્ક સહિત અનેક સોસાયટીઓના રહીશોમાં કચવાટ છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ તાત્કાલિક રિપેરિંગ કરાવવા માંગ ઉઠી છે નવો રોડ બનતા પહેલા ગટર તથા પાણીની તૂટેલી લાઇનો પણ રિપેરિંગ કરવી જરૂરી છે.
પ્રજાજન પરેશાન:મહુવામાં ડ્રેનેજ લાઇન, કચરો સહિતની સમસ્યાથી જનતા ત્રસ્ત
મહુવા શહેરના વોર્ડ નં.1-2-3 માં ડ્રેનેજ લાઇન તથા કચરો ઉપાડવા તથા વિવિધ પ્રશ્ને આપ દ્વારા મહુવાના ચીફ ઓફિસરને પત્ર લખી રજુઆત કરવામાં આવેલ છે. મહુવા શહેરના વોર્ડ નં.1 માં ડ્રેનેજ કનેક્શન તેમજ ડ્રેનેજ લાઇનનો તથા પાણીની લાઇનોનું ખોદકામ કરેલ છે પરંતુ તેનું પુરાણ કે આવી જગ્યાઓ ઉપર ગારો ન થાય, વોર્ડ નં.2માં ગટરના પાણી રોડ ઉપર ન વહે તેની વ્યવસ્થા કરવામાં આવે તથા સુકો કચરો અને ભીંના કચરાની ડોલો મુકવા, ગટરની લાઇનો સાફ કરવી તેમજ વોર્ડ નં.3માં ખરેડીયા મહોલ્લામાં પીવાના પાણીમાં ગટરનું પાણી વારંવાર ભળી જાય છે. કચરાની ગાડીઓ અંદર સુધી પહોચે અને તરવાડી કબ્રસ્તાનથી લઇ અને ભાદ્રોડના ઝાંપા સુધીના વિસ્તારમાં સાઇડના બ્લોક નાખવા તથા નીચાણવાળા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને હજુ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલો હોય જેના નિકાલ કરવો વગેરે વિવિધ પ્રશ્નોનુ વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે આપ દ્વારા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
મારમાર્યો:વલભીપુર પાલિકામાં મુકાદમને મારમાર્યો
વલભીપુર નગર પાલિકામાં અરૂણાબેન અશોકભાઇ વેગડ નોકરી કરતા હોય અને જે નગરાપાલિકામાં ટાઇમસર નોકરીમાં હાજર થતાં ન હોય જેથી નગરપાલિકાના મુકાદમ સુનીલભાઇ રાજેશભાઇ વેગડે નોકરીમાં સમય મુજબ આવવાનું કહેતા, અરૂણાબેનના પતિ અશોકભાઇ ઉર્ફે વીલીયમ બાલાભાઇ વેગડ અને તેમના પુત્ર પારસ અશોકભાઇ વેગડે એક સંપ કરી, વલભીપુર નગરપાલિકાના દાદરમાં જ સુનીલભાઇ વેગડ ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં સુનીલભાઇ વેગડે પિતા-પુત્ર વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

30 C