SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં ઈશાની દવેનો સંગીતમય કાર્યક્રમ:ઈશાનીના મધુર સ્વરે પ્રવાસીઓ આનંદમાં ઝૂમી ઉઠ્યા, ફેસ્ટિવલ યાદગાર બન્યો

સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ-2025માં જાણીતી ગુજરાતી ગાયિકા ઈશાની દવેના કાર્યક્રમે સંગીતમય માહોલ સર્જ્યો હતો. તેમના મધુર અને શક્તિશાળી અવાજે લોક તથા આધુનિક સંગીતની અનોખી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓ આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી ફેસ્ટિવલ યાદગાર બન્યો હતો. ઈશાની દવે ગુજરાતી લોક અને આધુનિક સંગીત ક્ષેત્રે જાણીતું નામ છે. તેઓ ગુજરાતી સંગીત ઉદ્યોગમાં પોતાની અનોખી ગાયકી અને સંગીત માટે વિશેષ ઓળખ ધરાવે છે. અમદાવાદ, ગુજરાતમાં જન્મેલા ઈશાની દવેએ બાળપણથી જ ગાવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતી સંગીત જગતમાં એક અગ્રણી ગાયિકા તરીકે સ્થાપિત થયા છે. નવરાત્રી દરમિયાન તેમના ગરબા અને લોકગીતો ખાસ લોકપ્રિય બને છે. કાનુડા જેવા ગીતો દ્વારા તેમણે શ્રોતાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંપરાગત ગુજરાતી લોકસંગીતને આધુનિક શૈલીમાં રજૂ કરવાની તેમની કળા યુવા પેઢીમાં ખૂબ આકર્ષણ જગાવે છે. સાપુતારા ફેસ્ટિવલમાં પણ તેમણે લોકગીતો અને ગરબાની પ્રસ્તુતિ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિવિધ લાઈવ સ્ટેજ શો અને ગરબા ઇવેન્ટ્સમાં તેમની ઊર્જાવાન રજૂઆત માટે ઈશાની દવે જાણીતા છે. તેમના કાર્યક્રમ દરમિયાન સમગ્ર મેદાન તાળીઓ અને નૃત્યથી ગુંજી ઉઠ્યું હતું. પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો અને સંગીતપ્રેમીઓએ એકસાથે સંગીતનો આનંદ માણ્યો હતો. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં ઈશાની દવેની ઉપસ્થિતિએ કાર્યક્રમને નવી ઊંચાઈ બક્ષી હતી. સંગીત, નૃત્ય અને ઉત્સાહથી ભરપૂર આ સાંજ પ્રવાસીઓ માટે યાદગાર બની રહી હતી, જ્યાં ઈશાની દવેના મધુર સ્વરે સૌના દિલ જીતી લીધા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:52 pm

બોટાદ સુધારણા યોજનાથી ત્રણ ગામોની પાણી સમસ્યા હલ:ઝમરાળા, રતનવાવ અને કેરિયા-2 ને મળશે નિયમિત પાણીનો પુરવઠો

બોટાદ સુધારણા યોજના હેઠળ બોટાદ તાલુકાના ઝમરાળા, રતનવાવ અને કેરિયા-૨ ગામોની પીવાના પાણીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવ્યો છે. આ ગામોમાં પાણી પુરવઠા વ્યવસ્થાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લાની જનતાને સુનિશ્ચિત અને સતત પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બોટાદ સુધારણા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કારિયાણી હેડવર્ક્સથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ઉપરોક્ત ત્રણેય ગામોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તીવ્ર અછત હતી. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગ્રામજનોને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેના કારણે દૈનિક જીવન પર અસર થતી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ સુધારણા યોજના અંતર્ગત નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ ઉપરાંત, જરૂરી ટેકનિકલ વ્યવસ્થાઓ અને પાણી પુરવઠા સંબંધિત માળખાકીય કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં હાથ ધરવામાં આવેલું ટેસ્ટિંગ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. આ સફળતા સાથે હવે ઝમરાળા, રતનવાવ અને કેરિયા-૨ ગામોને નિયમિત અને પૂરતો પીવાનો પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે, જેનાથી તેમની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:50 pm

'મહિલા વિરોધી માનસિકતા, અસભ્ય વર્તન અને ત્રાસથી કંટાળ્યા':સુરત શહેર કોંગ્રેસ-પ્રમુખની મનમાની સામે મહિલા મોરચાના 11 સભ્યના રાજીનામા

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિવાદો વકરતા પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. શહેર પ્રમુખની કાર્યશૈલી સામે વિરોધ નોંધાવી મહિલા મોરચાની 11 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા ધરી દેતા કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગંભીર આક્ષેપો સાથે રાજીનામાનો દોરમહિલા કાર્યકર્તાઓએ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલને ઉદ્દેશીને મોકલેલા રાજીનામામાં ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની માનસિકતા મહિલા વિરોધી છે. કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન અસભ્ય અને અપમાનજનક રહેતું આવ્યું છે. તેમના દ્વારા સતત કરવામાં આવતા માનસિક ત્રાસ અને મનસ્વી નિર્ણયોથી કાર્યકર્તાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાંબા સમયથી ચાલતો અસંતોષ સપાટી પર આવ્યોસૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ ઉધનાવાલા જ્યારે શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ પક્ષના જૂના અને વફાદાર કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળતો હતો. અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અને કાર્યશૈલી બાબતે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે મહિલા કાર્યકર્તાઓએ આકરો નિર્ણય લીધો છે. ચૂંટણી ટાણે જ પક્ષની છબી ખરડાઈએક તરફ કોંગ્રેસ આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ સંગઠનના મુખ્ય સ્તંભ ગણાતી મહિલા પાંખમાં સર્જાયેલો આ બળવો પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 11 સભ્યોના એકસાથે રાજીનામા પડતા હાઈકમાન્ડ પણ દોડતું થયું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ સુરત કોંગ્રેસના આ આંતરિક વિખવાદને ડામવા માટે કેવા પગલાં ભરે છે અને વિપુલ ઉધનાવાલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:49 pm

માનસિંગ પરમાર ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ બન્યા:ગીર સોમનાથના યુવા નેતાને જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ સ્તરે મોટી જવાબદારી સોંપાઈ

ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ ભાજપ અધ્યક્ષ અને યુવા નેતા માનસિંગ પરમારને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ ઓબીસી સમાજને સંગઠિત કરીને રાજકીય રીતે વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી પરમારને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. નિમણૂક બાદ માનસિંગ પરમાર સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, યુવા નેતા હાર્દિકસિંહ ઝાલા, શહેર મહામંત્રી મૌલિક વૈયાટા, તાલુકા પંચાયત સદસ્ય નારણ બારડ, કેતન બારડ અને હરેશ સોલંકી સહિત ભાજપ સંગઠનના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરમારનું અભિવાદન કર્યું હતું. આ અવસરે માનસિંગ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં અંદાજે 60 ટકા જેટલી ઓબીસી વસ્તી છે. પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમણે ઉમેર્યું કે, આગામી દિવસોમાં સૌને સાથે રાખીને ઓબીસી સમાજને સંગઠિત કરવામાં આવશે. માનસિંગ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ગામડાથી લઈને શહેર સુધી વધારવાનો સતત પ્રયાસ કરાશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, ત્યારબાદ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને વધુ મજબૂત બનાવવામાં આ મોરચો મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે સંગઠન, સમર્પણ અને સેવા ભાવના સાથે કાર્ય કરીને પાર્ટીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:49 pm

ઓઇલ ભરેલા ટેન્કરમાથી ઓઇલ ચોરી કરતો શખ્સ ઝડપાયો:24 લાખનો મુદ્દામાલ જપ્ત, જોટાણાના માકણજ ગામે મળતીયાઓ સાથે મળીને ચોરી કરતો

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના માંકણજ ગામે સાંથલ પોલીસ દ્વારા ક્રૂડ ઓઇલની ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદ અને તેમનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકના ટાંકામાં ભરી રહ્યો હતો ને ઝડપાયોપોલીસને મળેલી બાતમી મુજબ માંકણજ ગામનો રહેવાસી શૈલેષસિંહ ઉર્ફે શલુભા નવલસિંહ ઝાલા,જે ઓ.એન.જી.સી.ના ક્રૂડ ઓઇલ ભરેલા ટેન્કરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તે પોતાના ગામમાં ટેન્કર ઊભું રાખી તેમાંથી ઓઇલની ચોરી કરી રહ્યો હતો. આ શખ્સ પોતાના મળતીયાઓ સાથે મળીને ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકમાં ગોઠવેલા ટાંકામાં ભરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે માંકણજ ગામે દરોડો પાડ્યો હતો. 24 લાખનો મુદ્દામાલ જપ્તઆ રેઇડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ચોરીનું 10,000 લિટર ક્રૂડ ઓઇલ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 5 લાખની કિંમતની ટ્રક નંબર GJ-09-Y-8245 15 લાખની કિંમતનું ટેન્કર નંબર GJ-18-BW-3562 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 24,03,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક શખ્સ ઝડપાયો, વોન્ટેડ આરોપીઓની શોધખોળઆ કાર્યવાહીમાં પોલીસે નંદાસણના સૈયદવાસમાં રહેતા અસદુલ્લા મહંમદહુસૈન ગુલાબનબી સૈયદ નામના એક શખ્સની ધરપકડ કરી છે.જ્યારે મુખ્ય આરોપી શૈલેષસિંહ ઝાલા, મંડાલીનો ઇમરાન રહીમખાન પઠાણ અને નંદાસણનો અસલમ યુનુસભાઇ સૈયદ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:36 pm

નવસારીમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા કાઈટ ફેસ્ટિવલ:10 થી 14 જાન્યુઆરી, વિજેતાઓને મળશે આકર્ષક ઇનામ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 'કાઈટ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં પતંગ રસિયાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે તેવી અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતની ઉત્સવપ્રિય જનતા માટે ઉતરાયણનો તહેવાર હંમેશા ખાસ રહ્યો છે. આ વર્ષે નવસારી મહાનગરપાલિકાએ આ મહોત્સવના માધ્યમથી શહેરના સાંસ્કૃતિક વારસા અને તહેવારોની રોશનીને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ કર્યો છે. આ આયોજનને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ મહોત્સવમાં સહભાગી થવા ઈચ્છુક પતંગબાજો માટે નવસારી મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરીજનોએ નિયત કરેલી લિંક પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ફેસ્ટિવલમાં માત્ર પતંગ ચગાવવા જ નહીં, પરંતુ પોતાની કળા પ્રદર્શિત કરનાર પતંગબાજોને પ્રોત્સાહિત કરવા માટે પણ યોજના રાખવામાં આવી છે. શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોપ-3 વિજેતાઓને આકર્ષક ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણનો ક્રેઝ જોતાં, નવસારીનો આ પ્રથમ કાઈટ ફેસ્ટિવલ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:35 pm

દારૂ-બાઈટિંગથી લઈને પીવા સુધીની તમામ વ્યવસ્થા!:પતરાના શેડમાં પડદા પાછળ ધમધમતા બારનો વીડિયો સામે આવ્યો; 3 દિવસમાં બે જનતા રેડ, સુરત પોલીસની નિષ્ક્રિયતા છતી

ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ સુરતની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે લોકોએ કાયદો હાથમાં લઈને દારૂના બે અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી છે, તેણે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. હાલમાં જ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પતરાના શેડમાં ચારેતરફ પડદા બાંધીને રીતસરનું દારૂનું બાર બનાવવામાં આવ્યું છે. અહીં દારૂ, પાણી-શોડા, બાઈટિંગથી લઈને લોકોને પીવા માટેની સુવિધા આપવામાં આવી રહી છે. એક તરફ સુરત પોલીસ ડ્રોન ઉડાવીને કાયદો-વ્યવસ્થાને જાળવવાના તાયફાવો કરે છે, પરંતુ શહેરનું ધમધમતા દારૂનો અડ્ડાઓ નજરે નથી પડતાં! મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ વીડિયો હાલ જ મારા સુધી પહોંચ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારના જુના વીડિયો પણ ફરતા હોય છે, જેથી તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી થશે. 3 દિવસમાં બે મોટી ‘જનતા રેડ’ કરી લોકોએ પોલીસની પોલ ખોલી31st પહેલા સુરતમાં પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના વ્યવસાયની પોલ સામાન્ય જનતા ખોલી રહી છે. 23 ડિસેમ્બરના રોજ ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોકોએ ગુનો પકડ્યો હોવા છતાં પોલીસ કર્મચારીએ જનતા રેડ કરનારાઓને જ ચોરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી, જે પોલીસ અને બુટલેગર વચ્ચેની મિલીભગત તરફ ઈશારો કરે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 25 ડિસેમ્બર: પાલ પોલીસ સ્ટેશનની હદમાં બાળકો સાથે મહિલાઓની દારૂના અડ્ડા પર રેડસુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી. બૂટલેગરે જ્યારે 'તમને શું નડે છે?' કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) બુટલેગર યજ્ઞેશ સામે 3થી વધુ ગુના છતાં ધંધો ચાલુ!પાલ વિસ્તારમાં જનતા રેડ બાદ પોલીસે જ્યારે બુટલેગર યજ્ઞેશની અટકાયત કરી અને તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બુટલેગર વિરુદ્ધ અગાઉ 3થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સવાલ એ થાય છે કે રીઢો ગુનેગાર હોવા છતાં તે પોલીસની નાક નીચે કેવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો હતો? મહિધરપુરાનો વીડિયો થયો વાઇરલહજુ આ ઘટનાઓ શાંત નથી થઈ ત્યાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્તા દેવડી રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં બુટલેગર કોઈપણ ડર વગર વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. ગ્રાહકો માટે ત્યાં જ બેસીને દારૂ પીવાની (સિટિંગ) સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. જાહેરમાં ચાલતી આ પ્રવૃત્તિ જોઈને લાગે છે કે બુટલેગરોને પોલીસ પ્રશાસનનો કોઈ જ ખોફ રહ્યો નથી. પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો31 ડિસેમ્બરની ઉજવણી પહેલા જ સુરત પોલીસની આબરૂના લીરા ઉડી રહ્યા છે. જે કામ પોલીસે કરવાનું હોય છે, તે કામ હવે સામાન્ય જનતા અને મહિલાઓએ કરવું પડી રહ્યું છે. શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહી છે? શું ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેશે? સ્થાનિક લોકોનો આક્રોશ જણાવી રહ્યો છે કે જો પોલીસ કડક હાથે કામગીરી નહીં કરે, તો આગામી દિવસોમાં જનતા રેડના કિસ્સાઓ હજુ વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:29 pm

દેશભરની 36 ટીમો ભાગ લેશે:44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025માં ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશનથી બેંગલુરુ જવા રવાના થઈ

44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા છે. AKFFGના જનરલ સેક્રેટરી, અશોક ગરુડ એ જણાવ્યું હતું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 4-01-2026ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી 36 ટીમ આવવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનો ખેલાડી પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. ગુજરાત રાજ્યના 30 ખેલાડી અને 2 કોચ, 2 મેનેજર, 1 ફિઝિયો ભાગ લેવા માટે વડોદરાથી રવાના થયા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:27 pm

યુવરાજસિંહે કૌભાંડની સંભાવના વ્યક્ત કરી છે:PGVCL દ્વારા વિદ્યુત સહાયક, નાયબ અધિક્ષક વહીવટ હિસાબ અને સીનીયર ટેકનીશીયન માટે લેખિત પરીક્ષા 15 કેન્દ્રો પર લેવામાં આવી

પીજીવીસીએલ દ્વારા આજરોજ તા.28.12.2025ના રોજ કુલ 15 કેન્દ્રો પર 7330 ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રીઝર્વ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે 3 કેડર કે જેમાં નાયબ અધિક્ષક વહીવટ, નાયબ અધિક્ષક હિસાબ તેમજ સીનીયર ટેકનીશીયનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરીક્ષાના સંચાલન માટે પીજીવીસીએલનાં ક્લાસ 1 અને ક્લાસ 2 કક્ષાના કુલ 30 અધિકારીઓની ફાળવણી તમામ 15 કેન્દ્રો પર જરૂરી સુપરવિઝન અર્થે કરવામાં આવી છે. જેમાં ક્લાસ 1 અધિકારીઓને દરેક કેન્દ્રો પર મોનીટરીંગના હેતુસર ફલાયિંગ સ્કોડ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. પરીક્ષાના દરેક કેન્દ્રો પર 2 SRPની ફાળવણી પણ કરવામાં આવી છે અને પરીક્ષા સી.સી.ટી.વી. ધરાવતા ક્લાસરૂમની અંદર આયોજિત કરવામાં આવી છે. પરીક્ષાર્થી પરેશ બારૈયાએ જણાવ્યું હતું કે, આજે PGVCL ની પરીક્ષા છે હું ઘણા સમયથી તૈયારી પણ કરી રહ્યો છું. જયારે કોલ લેટર લેવા ગયો ત્યારે મારો અકસ્માત થયો છે જેથી ડાબા હાથે ઇજા પહોંચી છે. નોકરીની જરૂરિયાત છે એટલે આજે કોઈ પણ રીતે પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. હું છેલ્લા 3-4 વર્ષથી દરેક સરકારી પરીક્ષા આપી રહ્યો છું. આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી જે સાંભળી પોતાને પણ દુઃખ થયું છે કારણ કે આટલા સમયથી મહેનત કરતા હોય અને એવું થાય તો દુઃખ જરૂર થાય છે. સૌરાષ્ટ્રભરમાંથી આજે આ ભરતી માટે ઉમેદવારો પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. 10 વાગ્યાથી પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ 11 વાગ્યાથી શરૂ કરી 1 વાગ્યા સુધી સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા PGVCL દ્વારા એજન્સીને લેવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ પરીક્ષાઓમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવે છે તો ઉમેદવારો દ્વારા આ પરીક્ષા પણ ગૌણ સેવા આયોગ દ્વારા લેવામાં આવે તેવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:27 pm

ભગવા સેનાના કાર્યકરો સામે ગુનો નોંધાયો:પેલેડિયમ મોલમાં ક્રિસમસ ટ્રી સહિત ડેકોરેશન તોડી નુકસાન કર્યું, સિક્યુરિટી સાથે ઝઘડો કર્યો'તો

25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કેટલાક હિંદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 27 ડિસેમ્બરના રોજ શહેરના એસજી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા ડેકોરેશન તોડી નુકસાન કરી વિરોધ કરવા બદલ પાંચ લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભગવા સેનાના કાર્યકર્તાઓ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ગયા હતા અને મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીને નીચે પાડી દેવામાં આવ્યા હતા. જેને લઈને સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકો સાથે બોલાચાલી કરી હતી. એ બાદમાં ક્રિસમસ ટ્રીને નીચે પાડી નુકસાન કરતા પોલીસ આવી ગઈ હતી. આ મામલે પાંચ લોકો વિરુદ્ધ પેલેડિયમ મોલના સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: અમદાવાદમાં ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી ઉતારીને ફેંક્યાં, સૌથી મોટા પેલેડિયમ મોલમાં ઘૂસી ધમાલ મચાવી ભગવા સેનાના કાર્યકર્તાઓ પેલેડિયમ મોલમાં તોડફોડ કરીમળતી માહિતી મુજબ શહેરમાં 25 ડિસેમ્બરથી લઇ 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને અલગ અલગ જગ્યાઓ મોલ પર ક્રિસ્મસ ટ્રી અને શાંતાક્લોઝ, લાઈટિંગ સહિતના શણગાર કરવામાં આવતા હોય છે. કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે 27 ડિસેમ્બર એસજી હાઇવે પર થલતેજ પાસે આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા. મોલમાં જેટલા પણ ક્રિસમસ ટ્રી લગાવવામાં આવેલા હતા અને સાન્તાક્લોઝની ટોપી સહિત વગેરે જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તેને નીચે પાડી દેવામાં આવ્યું હતું અને દૂર કરી દેવામાં આવ્યું હતું. ક્રિસ્મસ ટ્રીને નીચું પાડી દઈ 5 હજાર જેટલું નુકસાન પહોંચાડ્યું હતુંઆ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ તમામ કાર્યકરોની અટકાયત કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મોલના સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા અનુપસિંહ રાજપુત, રાહુલ વર્મા, ધ્રુવસિંહ રાજપુત, પ્રજ્વવલ ઝા અને બોબીસિંહ રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાંચ શખ્Sસો પેલેડિયમ મોલમાં ત્રીજા અને ચોથા માળે જે ક્રિસ્મસ ટ્રી અને અન્ય ડેકોરેશન હતું તેને નીચે પાડી દીધું હતું અને 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી બળ વાપર્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:18 pm

કલોલમાં શાળાએ જતી કિશોરીની છેડતી કરનાર રોમિયોને અભયમનો પરચો:પાડોશીના પુત્ર એ હેરાન-પરેશાન કરી હતી, 181 ટીમે માફી મંગાવી મામલો થાળે પાડ્યો

કલોલ તાલુકામાં એક 15 વર્ષની કિશોરીનો રસ્તો રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતા પાડોશી યુવકને 181 અભયમ ટીમે કાયદાનું ભાન કરાવ્યું છે. વારંવાર સમજાવવા છતાં ન સુધરતા યુવક સામે પરિવારે અભયમની મદદ માંગી હતી. ટીમે સ્થળ પર પહોંચી યુવકને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ફરી આવી હરકત કરી તો સીધા જેલમાં જવું પડશે. અંતે યુવકે ભૂલ સ્વીકારી લેખિત ખાતરી આપતા બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું. સગીરાને રસ્તામાં રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતો પાડોશીશાળાએ જતી દીકરીઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન ફરી એકવાર વરદાન સાબિત થઈ છે. કલોલ તાલુકાની એક 15 વર્ષીય સગીરાને રસ્તામાં રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતા પાડોશીના યુવકને અભયમ ટીમે કડક શબ્દોમાં સમજાવી કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપતા રોમિયોના હોશ ઉડી ગયા હતા. યુવકની હેરાનગતી ચાલુ રહેતા અંતે દીકરીએ હિંમત દાખવી કલોલ તાલુકાની 15 વર્ષની દીકરીએ અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે જણાવ્યું હતું કે, જ્યારે તે સ્કૂલે જાય છે ત્યારે પાડોશમાં રહેતો એક યુવક વારંવાર તેનો રસ્તો રોકે છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરી ખોટી રીતે હેરાન કરે છે. આ બાબતે સગીરાના પરિવારે અગાઉ પાડોશીને જાણ કરી હતી, પરંતુ ઉકેલ આવવાને બદલે બંને પક્ષે ઝગડો થયો હતો. સમજાવટ છતાં યુવકની હેરાનગતી ચાલુ રહેતા અંતે દીકરીએ હિંમત દાખવી અભયમની મદદ માંગી હતી. અભયમ ટીમે યુવકને કડક ચેતવણી આપીઆ કોલ મળતાની સાથે જ અભયમ ટીમ તાત્કાલિક આપેલા સરનામે પહોંચી હતી. અને ટીમે પાડોશીના ઘરે જઈ યુવકને રૂબરૂમાં બોલાવ્યો હતો અને તેની કરતૂતો સામે કાયદાની ગંભીરતા સમજાવી હતી. અભયમ ટીમે કડક ચેતવણી આપી હતી કે જો હવે પછી દીકરીની પજવણી કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરી જેલ ભેગો કરી દેવામાં આવશે. 181 ટીમે માફી મંગાવી મામલો થાળે પાડ્યોત્યારે પોલીસ કાર્યવાહીના ડર અને અભયમ ટીમની સમજાવટ બાદ રોમિયો યુવક ફફડી ઉઠ્યો હતો. અને તેણે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ મદદ માંગનાર દીકરી અને તેના માતા-પિતાએ ઉદારતા દાખવી યુવકનું ભવિષ્ય ન બગડે તે હેતુથી તેને સુધરવાનો એક મોકો આપવાનું નક્કી કર્યું હતું. અંતે અભયમ ટીમે બંને પક્ષોને યોગ્ય માર્ગદર્શન આપી આ મામલાનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:15 pm

મોરબી મ્યુનિસિપલ કમિશનર બાળકો સાથે રમ્યા શેરી રમતો:ધમાલ ગલીમાં લંગડી, સાપ સીડી, લીંબુ ચમચીનો આનંદ માણ્યો

મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા આજે મોરબીના શનાળા રોડ પર આવેલા સરદાર બાગમાં ધમાલ ગલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શેરી રમતોને ફરી જીવંત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની સહિતના અધિકારીઓ પણ બાળકો સાથે બાળક બનીને રમતોમાં જોડાયા હતા. કમિશનર સ્વપ્નિલ ખરેએ લંગડી, સાપ સીડી અને ભમરડા ફેરવવા જેવી રમતો બાળકો સાથે રમી હતી. વર્તમાન મોબાઈલ યુગમાં બાળકો શેરી રમતો ભૂલી ગયા છે. અગાઉના સમયમાં બાળકો લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો અને ભમરડા ફેરવવા જેવી રમતો રમીને આનંદ કરતા હતા, જે હવે શેરીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. આ ભુલાઈ ગયેલી રમતોને ફરીથી લોકપ્રિય બનાવવાના પ્રયાસરૂપે, ધમાલ ગલીમાં બાળકોએ કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી અને દોરડા કૂદ જેવી વિવિધ શેરી રમતોનો આનંદ માણ્યો હતો. સિનિયર સિટીઝનોએ પણ પોતાનું બાળપણ યાદ કરીને મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:07 pm

ચોટીલા ડુંગર પર છઠ્ઠી રાજ્યકક્ષાની સ્પર્ધા:30 ડિસેમ્બરે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે, સાહસવીરો શક્તિ પ્રદર્શન કરશે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 30 ડિસેમ્બર, 2025ના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર - ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર - સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો છે. સ્પર્ધાનો પ્રારંભ સવારે 7 કલાકે થશે, જ્યારે વિજેતા ખેલાડીઓ માટે સવારે 10 કલાકે ચોટીલા તળેટી ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી. કે. પરમાર, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ. યાજ્ઞિક અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે. 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 7 કલાકે મહાનુભાવો દ્વારા સ્પર્ધકોને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સવારે 10 કલાકે વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે, 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક દરમિયાન ચોટીલા ડુંગર પર યાત્રાળુઓને ચડવા-ઉતરવા કે સ્પર્ધાના રૂટમાં આવતા પગથિયાઓ પર અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર અને આયોજકો દ્વારા ચોટીલા આવતા તમામ યાત્રાળુઓ, ભક્તજનો અને નાગરિકોને આ અંગે જાણ કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 11:15 am

અમરેલીમાં 31 ડિસેમ્બર માટે 31 ચેકપોસ્ટ ઊભી કરાશે:નશાખોરી રોકવા ફાર્મ હાઉસ, રિસોર્ટ પર પણ પોલીસની વોચ

અમરેલી જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ નશાખોરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ અને ફાર્મ હાઉસ તેમજ રિસોર્ટ પર વોચ રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરી અટકાવી શકાય તે માટે ખાસ બંદોબસ્ત યોજના બનાવવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર જિલ્લામાં 31 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકો નશાની હાલતમાં છે કે કેમ, તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમરેલી સિટી પોલીસે પણ મોડી રાત્રે DYSP ચિરાગ દેસાઈ અને PI ડી.કે. વાઘેલાના નેતૃત્વ હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લાને દરિયાઈ અને જંગલ વિસ્તાર અડીને આવેલો છે, તેમજ નજીકમાં કેન્દ્રીય શાસિત પ્રદેશ પણ છે. આ કારણોસર 31 ડિસેમ્બરની ઉજવણીના બહાને કેફી પીણાં કે ડ્રગ્સનું સેવન વધવાની શક્યતા રહે છે, જેને રોકવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા હોટલ, ફાર્મ હાઉસ અને રિસોર્ટ પર SOG અને LCBની ટીમો દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરે, પરંતુ કેફી પીણાં કે ડ્રગ્સ જેવી બાબતોથી દૂર રહે. નશાખોરી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 11:14 am

અમરેલીના હિરેન હીરપરા ગુજરાત કિસાન મોરચા પ્રમુખ બન્યા:યુવા ભાજપ નેતાની પ્રદેશ કિસાન મોરચાના સર્વોચ્ચ પદ પર નિમણૂક

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાની નિમણૂકોમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ખેડૂત નેતા હિરેન હીરપરાને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. હિરેન હીરપરાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂત નેતા તરીકેની ઓળખ ઊભી કરી છે. તેમણે ખેડૂતોના પ્રશ્નોને સરકાર અને સંગઠન સમક્ષ સતત અને હકારાત્મક રીતે રજૂ કર્યા છે. રાજ્યભરમાં ખેડૂતોની મુલાકાત લઈ, વિવિધ ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળતા હતા. તેમની નિમણૂકથી ખેડૂતો અને કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના વતની હિરેન કનુભાઈ હીરપરા એલ.એલ.બી. શિક્ષિત યુવાન છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ સ્થાનિક સહકારી સહિત 6 જેટલી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમની રાજકીય કારકિર્દી વર્ષ 2009માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ, 2013માં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ, 2016માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી, 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને 2021માં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. 2025ના અંતિમ દિવસોમાં તેમને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. પાટીદાર સમાજમાંથી આવતા યુવા ચહેરા અને સંગઠનમાં તેમની સક્રિય કામગીરીને કારણે અગાઉ ધારી વિધાનસભા અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીઓમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કાર્યકરો અને ખેડૂતોએ ઉમળકાભેર આવકારી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:51 am

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત:સારવારમાં હોવાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક CM ભૂપેન્દ્ર પટેલને સોંપાઈ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ હાલ ફરજ બજાવી શકતા નથી. તબીબી સલાહ અનુસાર તેઓ આરામ અને સારવાર હેઠળ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. તમામ જવાબદારી-નિર્ણય મુખ્યમંત્રી લેશેસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની રોજિંદી કામગીરી, મહત્વના નિર્ણય અને ચાલી રહેલી યોજનાઓ પર કોઈ અસર ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ યથાવ્ રીતે ચાલુ રહેશે અને તમામ વહીવટી નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવશે. તબિયતમાં સુધારા બાદ ફરી પાનસેરિયા ફરજ સંભાળશેમંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેઓ ફરી ફરજ સંભાળશે. ત્યાં સુધી આરોગ્ય વિભાગનું સંચાલન મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:44 am

કાંકરિયા કાર્નિવલ: 3 દિવસમાં 52 બાળકો પરિવારથી વિખૂટા પડ્યા:પોલીસે ડ્રોન-CCTVની મદદથી ગણતરીના કલાકોમાં મિલન કરાવ્યું, ભીડમાં બાળકનું ખાસ ધ્યાન રાખજો !

અમદાવાદના કાંકરિયા ખાતે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલ 2025માં સહેલાણીઓની ભારે ભીડ વચ્ચે સુરક્ષાને લઈને પોલીસ સતર્ક બની છે, શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 52 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જોકે, અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સને કારણે ગણતરીના કલાકોમાં જ આ તમામ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં, પરંતુ ખોવાયેલા કિંમતી વસ્તુ પણ મુલાકાતીઓને પરત અપાવવામાં આવી છે. મનપા અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ભારે ભીડમાં પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખે. ત્રણ દિવસમાં 52 બાળકો માતા-પિતાથી વિખૂટા પડ્યાકાંકરિયા કાર્નિવલમાં રોજના 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે. જેમાં 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં કાંકરિયા કાર્નિવલ ખાતે કુલ 52 જેટલા બાળકો વિખૂટા પડી ગયા હતા. ત્યારે માતા-પિતા દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે શરૂ કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે કાંકરિયા પરિસર ખાતે હાજર મિસિંગ સેલના અને અન્ય પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની મદદથી વિખૂટા થયેલા બાળકોને શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મુલાકાતીઓની કિંમતી ચીજ વસ્તુ પણ સુપરત કરાઈકાર્નિવલમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવતી હોય છે. કાંકરિયા કાર્નિવલમાં કેટલાક લોકોની કિંમતી ચીજ વસ્તુઓ પણ ખોવાઈ ગઈ હતી. પોલીસની સતર્કતાને કારણે ભીડમાં ખોવાયેલા 1 કિંમતી આઇફોન (IPHONE) અને 2 પર્સ (જેમાં રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો હતા) મળી આવ્યા હતા. પોલીસે તેના અસલ માલિકોની શોધખોળ કરી અને ખાતરી કર્યા બાદ આ સામાન પરત સોંપ્યો હતો. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સશહેર પોલીસની ઝોન 6ની પોલીસ અને મણીનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખા પરિસરમાં ઠેર-ઠેર પોલીસ કર્મચારીઓ અને સહાયતા કેન્દ્ર મુકવામાં આવ્યા છે. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સ દ્વારા ભીડ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. 3 હાઇ-ટેક કંટ્રોલ રૂમ: સી.સી.ટીવી કેમેરા નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ થાય છે. મુલાકાતીઓની ત્વરિત મદદ માટે 24 કલાક પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરાયું છે. વિખૂટા પડેલા લોકોને શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોમહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં 11 શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કાંકરિયા પરિસરમાં કરવામાં આવે છે. જ્યારે વિખૂટા પડેલા બાળકો અને વ્યક્તિઓને તાત્કાલિક શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોની રચના કરી છે. જે ખૂબ જ ભીડમાં નાના બાળકો પરિવારથી વિખૂટા થઈ જતા હોય છે. તેને પોલીસ દ્વારા શોધીને તેના માતા-પિતાને પરત આપવામાં મદદ કરે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:22 am

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઓબ્સ્ટેકલ સ્પર્ધા યોજાઈ:શિવાજી હાઉસ ચેમ્પિયન બન્યું, કેડેટ પંકજે વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તાજેતરમાં ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કેડેટ્સની શારીરિક સહનશક્તિ, ચપળતા, હિંમત અને ટીમવર્કનું પરીક્ષણ કરવા માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પાંચ સિનિયર હાઉસના ધોરણ 9 થી 11ના કેડેટ્સે ભાગ લીધો હતો. કેડેટ્સે સ્ટ્રેટ બેલેન્સ, ગેટ વોલ્ટ, એલ્બો લિફ્ટ, ઝિગ-ઝેગ બેલેન્સ, ડબલ ડિચ, બર્મા બ્રિજ, એઇટ ફીટ વોલ, સ્ક્રેમ્બલ નેટ, મંકી રોપ, વર્ટિકલ રોપ, ક્રોલ અને રેમ્પ જેવા પડકારજનક અવરોધોનો સામનો કર્યો હતો. લગભગ તમામ કેડેટ્સે તેમની કઠોર તાલીમ અને શિસ્તને પ્રતિબિંબિત કરતા અવરોધોને સફળતાપૂર્વક પાર કર્યા. ખૂબ જ સ્પર્ધાત્મક ઇવેન્ટ પછી, શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ કોમ્પિટિશન 2025-26માં વિજય પ્રાપ્ત કર્યો. તેમણે 17 મિનિટ અને 04 સેકન્ડના પ્રભાવશાળી સમયમાં કોર્સ પૂર્ણ કરીને ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી. આંગ્રે હાઉસે રનર્સ-અપ સ્થાન મેળવ્યું. વ્યક્તિગત કેટેગરીમાં, કેડેટ પંકજે પ્રથમ સ્થાન મેળવ્યું, ત્યારબાદ કેડેટ રુદ્ર બીજા સ્થાને અને કેડેટ સુજલે ત્રીજા સ્થાને રહ્યા. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ વિજેતા હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી આપી. આ પ્રસંગે, અધિકારીઓ અને સ્ટાફે વિજેતાઓને અભિનંદન આપ્યા અને તમામ કેડેટ્સના ઉત્સાહપૂર્ણ ભાગીદારી અને પ્રશંસનીય પ્રયાસોની પ્રશંસા કરી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:18 am

બોટાદમાં સ્વામીનારાયણ મંદિરનો 175મો શતામૃત મહોત્સવ શરૂ:આનંદ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, બાળકોથી વડીલો સુધી સૌ માટે મનોરંજનની વ્યવસ્થા

બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત આનંદ મેળાનું પણ આયોજન કરાયું છે, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ નાગરિકો ઉમટી રહ્યા છે. આ મેળામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ માટે મનોરંજનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારના ચકડોળ, ઝુલા અને રમતો લોકો માટે મુખ્ય આકર્ષણ બન્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ આ મેળાનો ઉત્સાહભેર લાભ લીધો હતો. મેળામાં વિવિધ ખાણી-પીણીના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે, જ્યાં મુલાકાતીઓ પરિવાર સાથે વિવિધ વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે. બોટાદના નાગરિકોએ સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત આ કાર્યક્રમને સારો પ્રતિસાદ આપ્યો છે. મહોત્સવના આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:15 am

નાતાલના મીની વેકેશનમાં સોમનાથમાં ભાવિકોનું ઘોડાપૂર:25 થી 27 ડિસેમ્બરે ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ, હોટલો હાઉસફુલ

નાતાલ અને 31મી ડિસેમ્બરના મીની વેકેશન દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના ભાવિકોનો મોટો પ્રવાહ ઉમટી પડ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 25 થી 27 ડિસેમ્બર સુધીના ત્રણ દિવસમાં સોમનાથમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. 31 ડિસેમ્બર સુધીમાં આ આંકડામાં હજુ વધારો થવાની શક્યતા છે. ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર ખાતે દર્શનમાં કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે, સોમેશ્વર પૂજાના સ્લોટ વધારાયા છે અને લાઈટ એન્ડ સાઉન્ડ શોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. યાત્રિકો માટે પાર્કિંગ સહિતની અન્ય સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનું અનેરું મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની હોટેલો ઉપરાંત આસપાસની તમામ હોટેલો અને ગેસ્ટહાઉસો સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૌરાષ્ટ્રભણી પ્રયાણ કર્યું છે. પ્રવાસીઓ માત્ર સોમનાથ જ નહીં, પરંતુ દ્વારકા, સાસણગીર અને સંઘ પ્રદેશ દીવ જેવા સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન સાથે સાસણગીરમાં સિંહ દર્શન અને દીવના પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. દર વર્ષે નાતાલ અને નવા વર્ષના મીની વેકેશન દરમિયાન હજારો અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સોરઠના પર્યટન સ્થળોની મુલાકાત લે છે. સોરઠ પ્રદેશ વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષના અનેક તહેવારો અને વેકેશન સમયે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. પરપ્રાંતીય પ્રવાસીઓ ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષનો શુભારંભ કરવા ઉમટ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:08 am

વડોદરા-દાહોદ મેમુ ટ્રેન ગોધરા સુધી આંશિક રદ:ડેરોલ યાર્ડમાં ROB ગર્ડર લોન્ચિંગ માટે ૩ કલાકનો બ્લોક

વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આજે વડોદરા અને ગોધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડેરોલ યાર્ડમાં રોડ ઓવર બ્રિજ (ROB) ના ગર્ડર લોન્ચિંગના કામ માટે રેલવે દ્વારા ત્રણ કલાકનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, ડેરોલ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નંબર 32 પર બની રહેલા રોડ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગનું કાર્ય હાથ ધરાશે. આ માટે આજે બપોરે ૧:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી અપ અને ડાઉન એમ બંને લાઇન પર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ ત્રણ કલાકના બ્લોકની સીધી અસર ગાડી સંખ્યા 69117 વડોદરા – દાહોદ મેમુ ટ્રેન પર પડશે. આ ટ્રેન આજે વડોદરાથી ગોધરા વચ્ચે દોડશે નહીં, એટલે કે આ રૂટ પર તે આંશિક રીતે રદ રહેશે. રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ટ્રેનના સમય અને સ્ટોપેજની નવીનતમ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી લે. આનાથી મુસાફરીમાં થતી અગવડ ટાળી શકાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:06 am

રત્નકલાકારના આપઘાતના હચમચાવતા CCTV:સુરતમાં પિતાએ ઠપકો આપતાં એકના એક પુત્રએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી

સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. દાનિશ કામ વગર અહીં-તહીં ફરતા પિતાએ ઠપકો આપ્યો હતોરામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ, દાનિશ અવારનવાર કામ વગર અહીં-તહીં ફરતો રહેતો હતો, જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. સારવાર માટે ખસેડાયો પણ ન બચ્યો26 ડિસેમ્બરને શુક્રવારે રાત્રે દાનિશે આવેશમાં આવીને પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. CCTVમાં કેદ થયા મોતના દૃશ્યોઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, દાનિશ ચોથા માળેથી નીચે કૂદે છે અને નીચે ઉભેલા એક 'છોટા હાથી' ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાય છે. અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ હેબતાઈ ગયા હતા અને તરત જ તેની મદદ માટે દોડી આવ્યા હતા. પરિવાર પર આભ ફાટ્યુંમૃતક દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને એક બહેન પણ છે. ઘરના વડીલે પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો મોટો આઘાત આપશે તેવી કલ્પના પરિવારે કરી ન હતી. લાલગેટ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 27 ડિસેમ્બરે રાજકોટમાં યુવકે ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હતો રાજકોટ શહેરના રૈયા ચોક ઓવરબ્રિજ પરથી એક યુવાને છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ઘટનામાં યુવકને માથાના અને પગના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ હરેશ જેઠવા (ઉં.વ.41) હોવાનું અને તે રૈયા રોડ પર આવેલ શ્યામનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું .છે તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે, પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યો હતો. ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 9:44 am

રાજકોટથી શરૂ થયેલી સરદાર@150 પદયાત્રા ખોડલધામ પહોંચી:ખોડલધામમાં સામૈયાથી હજારો પદયાત્રાળુઓનું સ્વાગત, 'જય સરદાર'ના નારા ગૂંજ્યા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત 'સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025' તેના બીજા દિવસે, 27 ડિસેમ્બરે યાત્રાધામ કાગવડ પહોંચી હતી. રાજકોટથી શરૂ થયેલી આ પદયાત્રાએ 27 કલાકમાં 65 કિલોમીટરથી વધુનું અંતર કાપી સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડ્યા છે. 28 ડિસેમ્બર, રવિવારના રોજ સવારે કાગવડ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ 'સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો' અને 'જય સરદાર'ના નારા સાથે પદયાત્રા ખોડલધામ મંદિર તરફ આગળ વધી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 9:26 am

રાગીના ગુલાબજાંબુ, કેક સહિતની ન જોઈ હોય તેવી વાનગીઓ:'વિસરાતી વાનગીઓનો મહોત્સવ' શરૂ, ટ્રેન્ડિંગ વાનગીઓ સાથે પોષણયુક્ત ખાવાના શોખીનો માટે જલસો

અમદાવાદના સોલા વિસ્તારમાં ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં વિસરાતી વાનગીઓનો મહોત્સવ યોજાયો છે. આગામી 31 ડિસેમ્બર સુધી લુપ્ત થતી અલગ અલગ વાનગીઓનો સ્વાદ અમદાવાદીઓ લઈ શકશે. ખાવા માટેના શોખીન હોવ અને રોજ કંઈક નવું ટેસ્ટ કરવાની ઈચ્છા હોય તો ચોક્કસથી આ જગ્યા તમારા માટે પસંદગીની બની રહેવાની છે. વિસરાતી વાનગીઓમાં અનેક વાનગીઓ એવી હશે જેના નામ અત્યારની પેઢીએ તો સાંભળ્યા પણ નહીં હોય. શોખીનો માટે વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જલસોઅત્યારના યુવાનો માટે રોજબરોજના જીવનમાં ઇન ઓર્ગેનિક પદાર્થો અને ફાસ્ટ ફૂડ ખાવા માટે ટેવાઈ ગયા છે. ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ એ પ્રકાર વધ્યો છે કે અમદાવાદમાં કોઈ નવી રેસ્ટોરન્ટ કે કાફે ખુલે અને યુવાનો તેમાં એક વખત જમવા માટે ન ગયા હોય તેવું ભાગ્યેજ બની શકે. કારણ કે નવો ટ્રેન્ડ યુવાનોને ખૂબ પસંદ આવી રહ્યો છે, કઈક અલગ વેરાયટી સાથે વાનગીઓ યુવાનો પસંદ કરી રહ્યા છે. જેથી હવે અમદાવાદીઓએ 31 ડિસેમ્બર સુધી શરીરની ચિંતા છોડી ટ્રેનિંગ વાનગીઓની મજા મળી શકશે. ટ્રેન્ડિંગ વાનગીઓ સાથે પોષણયુક્ત ખાવાના શોખીનો માટે વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જલસો પડી જવાનો છે. આ પણ વાંચો: જરા હટકે ખાવાના શોખીન હોવ તો અમદાવાદમાં ચાલી રહેલા 'વીસરાતી વાનગી મહોત્સવ'માં પહોંચી જજો ટ્રેન્ડ સાથે પોષણયુક્ત બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસ બનાવવામાં આવ્યાયુવાનોના અત્યાર પેઢીની પસંદને ધ્યાનમાં રાખીને ફાસ્ટ ફૂડમાં જે જે વાનગીઓ આવે છે તેમાં વિસરાતી વાનગીઓને કઈ રીતે જોડી શકાય તે પ્રયાસ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જોવા મળી રહ્યું છે. રગડા પેટીસ, આલુ ટિક્કીની દુકાન જોઈને ભલભલાનું મન તે ખાવા માટે આકર્ષાઈ જાય છે, પરંતુ તે શરીર માટે કેટલું સારું છે તે તરફ કોઈ ધ્યાન આપતું નથી. વિસરાતી વાનગીઓના મહોત્સવમાં તેને અલગ રીતે બનાવવામાં આવે છે. પ્રાચીબેને બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસનો સ્ટોલ કર્યો છે. આલુ ટિક્કીમાં બટાકામાં એટલા પોષણયુક્ત તત્વો હોતા નથી. જેથી અત્યારના ટ્રેન્ડ સાથે પોષણયુક્ત બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસ બનાવવામાં આવ્યા છે. વ્યસ્ત જીવનમાં શું ખાવું, શરીર માટે યોગ્ય છે તે લોકો વિચારતા નથીમેદાનો ઉપયોગ અત્યારે મોટા ભાગની તમામ વાનગીઓમાં થવા લાગ્યો છે. વ્યસ્ત જીવનમાં શું ખાવું, શરીર માટે યોગ્ય છે તે આપણે વિચારતા પણ નથી. મેંદો ખાવાથી કેટલું નુકસાન થાય છે તે વિચારવાનો પણ લોકો પાસે સમય નથી. કારણ કે નવી વાનગીઓ ખાવાના ઉત્સાહ સાથે શરીરની ચિંતા કરવાનું આપડે ભૂલી ગયા છીએ. જે વાનગીઓ ટ્રેડિંગ છે તે બજારમાં મેંદામાં બને છે તે વાનગીઓ અહીં પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા મિલેટ્સમાં બનાવવામાં આવી છે. કેક કે જે કોઈપણ વ્યક્તિનો જન્મ દિવસ તે જોવા મળતી હોય છે, પરંતુ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં રાગી, જુવાર, મધ અને કેળા સાથે કેક બનાવવામાં આવી છે, કે જે યુવાનોને આકર્ષે છે અને ન્યુટ્રિશિયનની પણ ચિંતા કરે છે. પ્રાચીબેને વધુમાં જણાવ્યું હતું કે, વાનગીઓમાં અમે ઓર્ગેનિક કલર એડ કરીએ છીએ જેથી યુવાનો માટે આકર્ષણરૂપ બની રહે છે. આમાં અમે રતાળુ, બીટ રૂટ અને થોડા જ માત્રામાં બટાકા અને ઘરમાં બનાવવામાં આવેલું પનીર સાથે ચાટ બનાવીને અહીંયા આપીએ છીએ. બટાકામાં પૂરતા પોષણયુક્ત તત્વો હોતા નથી પરંતી બીટરૂટ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. હીમોગ્લોબિન પણ આના કારણે ઇન્ક્રિશ થાય છે. રુચિબેને વધુમાં જણાવ્યું હતું કે, જાવરુમાં અલગ અલગ મેટેસ્ટ એડ કરીને તેને વેજિટેબલ સાથે પીરસવામાં આવે છે. તેમજ આ વખતે રાગી પેનકેકનું નવું ઇનોવેશન બનાવવામાં આવ્યું છે. પેનકેકમાં 80 ટકા રાગી અને 20 ટકા જુવાર સાથે મધ અને કેળા સાથે બનાવવામાં આવે છે. અત્યારે મેદાને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ આપણી પાસે એવા ઘણા બધા મિલેટ્સ છે જે આપણે ઘણું બધું ન્યુટ્રિશિયન પણ પૂરા પાડે છે. અત્યારના સમયમાં લોકો મેદાથી દૂર થઈ મિલેટ્સ પર આકર્ષાય તેવો પ્રયાસ છે. ચંદ્રિકાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાગીનો ઉપયોગ કરીને દૂધથી બનાવવામાં આવે છે, જેથી આ ખાવાથી બાળકને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. બાળક મિલેટ્સ કેક ગમે એટલી ખાય પરંતુ તેનાથી શરીરને કોઈ નુકસાન થશે નહીં.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 9:24 am

જૂનાગઢમાં 5000 એન્જિનિયરોનો મહાકુંભ:GEB એન્જિનિયર્સ એસો.ના ત્રીજા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ, રાત્રે ભૂજના પ્રખ્યાત 'હની બેન્ડ'ના તાલે ઈજનેરો પરિવાર સાથે ઝૂમ્યા

​જૂનાગઢના આંગણે GEB એન્જિનિયર્સ એસોસિએશન (GEA)ના 27માં વાર્ષિક અધિવેશનનો 27 ડિસેમ્બરના રોજ ભવ્ય પ્રારંભ થયો છે. 27 અને 28 ડિસેમ્બર એમ બે દિવસીય ચાલનારા આ અધિવેશનના પ્રથમ દિવસે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ તકે સમગ્ર ગુજરાતમાંથી 3000થી વધુ ઈજનેરો અને તેમના પરિવાર મળી અંદાજે 5000થી વધુ લોકોની ઉપસ્થિતિથી જૂનાગઢમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. આજે ઋષિકેશ પટેલ અને ગોરધન ઝડફિયાની અધિવેશનમાં હજારી આપશે. અધિવેશનમાં નાઈટ શોમાં 'હની બેન્ડ'ની જમાવટ અધિવેશનના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના સમયે ભુજના સુપ્રસિદ્ધ 'હની બેન્ડ' દ્વારા મ્યુઝિકલ નાઈટ શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઈજનેરો અને તેમના પરિવારો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મંત્રી કૌશિક વેકરિયાએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી ઈજનેરોનો ઉત્સાહ વધાર્યો હતો. પારિવારિક માહોલ વચ્ચે યોજાયેલા આ સુંદર આયોજનને બિરદાવ્યું હતું. ત્રિ-વાર્ષિકને બદલે વાર્ષિક મિલન યોજોઃ વેકરિયારાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ ઈજનેરોને સંબોધતા જણાવ્યું હતું કે, GEB એન્જિનિયર એસોસિએશન દ્વારા જૂનાગઢમાં ખૂબ જ ભવ્ય અને પારિવારિક આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ ઉત્સવ દર ત્રણ વર્ષે યોજાતો હોય છે, પરંતુ મારી અપીલ છે કે ઈજનેરો વચ્ચે પારિવારિક સંબંધો જળવાઈ રહે તે માટે આ સ્નેહમિલન વાર્ષિક ધોરણે યોજવામાં આવે. તેમણે ગુજરાતના વિકાસમાં ઈજનેરોના ફાળાને બિરદાવી તેમને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. આજે એસો.ના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશેઃ હરેશ વઘાસિયાએસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે તમામ કંપનીઓના એમડી (MDs), પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે (28 ડિસેમ્બર) અધિવેશનના બીજા દિવસે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જીબીઆ (GBA)ના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે આજે એસોસિએશનના આગામી ટર્મ માટેના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. ઈજનેરોએ સરકાર સાથે ખભેખભા મિલાવી રાજ્યના ઉર્જા ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ પણ આ તકે વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 9:14 am

રૂ.1.06 કરોડના વીઝા કૌભાંડમાં:પકડાયેલા આરોપીની જામીન અરજી પાટણ કોર્ટે નામંજૂર કરી

પાટણ: રૂા. 1.06 કરોડના વીઝા કૌભાંડ કેસમાં પકડાયેલા આરોપી રવિન્દ્રગીરી હસમુખગીરી વૈરાગીની નિયમિત જામીન અરજી પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નૌશાદ પઠાણે નામંજૂર કરી છે. આ અગાઉ પણ તેની જામીન અરજીઓ નામંજૂર થઈ ચૂકી છે. ભૂજ-કચ્છ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાંચે આ કૌભાંડમાં મૂળ વિસનગરના વાલમના અને હાલ પાલનપુર રહેતા રવિન્દ્રગીરી વૈરાગી (ઉ.વ. 30)ની ધરપકડ કરી હતી. તેના પર પાટણના બે યુવાનો સહિત વિસનગર પંથકના કેટલાક યુવાનોને વિદેશ મોકલવા માટે વીઝા કઢાવી આપવાના બહાને રૂા. 1.06 કરોડની રકમ પડાવી લેવાનો આરોપ છે. આરોપી સામે બીએનએસ 54/316(2)/316(5)/333(3)/340(2) તથા વસવાટ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણની કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને જામીન અરજી નામંજૂર કરતા જણાવ્યું હતું કે, સરકારી વકીલ અને ચાર્જશીટના કાગળો મુજબ આરોપીએ સહઆરોપીઓ પાસેથી ફરિયાદી તથા અન્યોના વીઝા બનાવી આપવા પૈસા મેળવી સાચા વીઝા આપ્યા ન હતા અને ખોટા ઓફર લેટર બનાવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે આરોપી સામે પ્રથમદર્શીય પુરાવા છે અને સંજોગોમાં કોઈ ફેરફાર જણાઈ આવતો નથી. આ હકીકતોને ધ્યાને લેતા આરોપીની જામીન અરજી મંજૂર કરવી ન્યાયી અને વ્યાજબી જણાતી ન હોવાથી તેને નામંજૂર કરવામાં આવે છે. અગાઉ પણ પાટણની સેશન્સ કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી, જે બાદ તેણે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:57 am

પાટણ પાલિકાએ સ્વચ્છતા ભંગ બદલ દંડ વસૂલ્યો:ધીવટાના નાકે ત્રણ વેપારીઓ દંડાયા, 'સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો' થીમ હેઠળ ઝુંબેશ

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારમાં સ્વચ્છતા જાળવવા માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરમાં કચરો ફેંકનારા ત્રણ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ધીવટાના નાકે આવેલી ત્રણ પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ સેનીટેશન ટીમે 'સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો' થીમ સાથે વહેલી સવારથી સફાઈ કામગીરી શરૂ કરી હતી. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાનભાઈ અને તેમની ટીમે મેન બજારમાં સફાઈ કામદારોની હાજરી ચકાસી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન ધીવટાના નાકે આવેલી અપ્સરા, રૂપસાગર અને નરેન્દ્રકુમાર કાપડની દુકાનો બહાર કચરો ફેંકાયેલો જોવા મળ્યો હતો. પાલિકાની ટીમે સ્થળ પર જ આ ત્રણ વેપારીઓ પાસેથી દંડ વસૂલ્યો હતો. વહેલી સવારે જ દંડાત્મક કાર્યવાહી થતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો હતો. ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વેપારીઓ અને નાગરિકોને જાહેરમાં ગંદકી ન કરવા અને દરેક એકમે ફરજિયાત ડસ્ટબિન રાખવા કડક સૂચના આપી હતી. રોડ-રસ્તા પર પાણી ઢોળીને ગંદકી ન કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. પાલિકા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છતા જાળવવામાં સહયોગ નહીં મળે તો આગામી સમયમાં પણ કડક દંડ વસૂલવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સેનીટેશન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આકસ્મિક તપાસ અને સફાઈ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:29 am

ગુજરાત ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર:અરવિંદ પટેલ ઉપપ્રમુખ, સોનલ સોલંકી મંત્રી બન્યા

ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જાહેરાત બાદ શનિવારે મોડી રાત્રે તેમની સંગઠન ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખોની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, પ્રદેશ ઉપપ્રમુખ પદે અનુભવી અને સંગઠનક્ષમ નેતાઓને સ્થાન અપાયું છે. મહામંત્રી અને મંત્રી પદે સંતુલિત તથા પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ રચીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે. કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી સંગઠન રચનામાં જ્ઞાતિ સમીકરણને વિશેષ ધ્યાનમાં લેવાયું છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે. 2026ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સમાજોને સાથે લઈને ચાલવાની સ્પષ્ટ રણનીતિ તરીકે આ નિમણૂકોને જોવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા માટે મહત્વપૂર્ણ રીતે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને CWCના પૂર્વ ચેરપર્સન સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક અપાઈ છે. આ નિમણૂકોને પગલે વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:28 am

ચોટીલામાં 10 એકર સરકારી જમીન પરથી દબાણ હટાવાયું:ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી બે હોટલો પર બુલડોઝર ફેરવાયું

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ચોટીલા નજીક નેશનલ હાઈવે પર આવેલી બે ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહીમાં આશરે 10 એકર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ હોટલો ગેરકાયદેસર બાંધકામ ઉપરાંત પ્રોહીબિશન અને કેમિકલ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ગંભીર ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકીએ ચોટીલા વિસ્તારમાં નેશનલ હાઈવે પરની હોટલો અને ધાબાઓની ખરાઈ કરી માહિતી એકત્રિત કરી હતી. જે હોટલોમાં અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ હતી, તેવી હોટલોના માલિકો અને સંચાલકો પાસેથી આધાર-પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. નાની મોલડી ગામ પાસે આવેલી 'ન્યુ નાગરાજ હોટલ' અને 'જય વડવાળા હોટલ' દ્વારા કોઈ આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આ બંને હોટલો મહેસૂલ વિભાગની મંજૂરી વિના સરકારી જમીનમાં આશરે 10 એકર જેટલું દબાણ કરીને ઊભી કરવામાં આવી હતી. 'જય વડવાળા હોટલ'ના સંચાલક સંજયભાઈ અનકભાઈ ખાચર પર ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો રાખી કટિંગ કરાવવાનો આરોપ હતો, જ્યાં રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે 'ન્યુ નાગરાજ હોટલ'માં અગાઉ ગેરકાયદેસર કેમિકલ/ડિઝલ ચોરી ઝડપાઈ હતી. આ બંને હોટલો ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં બાંધકામ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી હોવાનું જણાતા, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે કુલ 10 એકર સરકારી જમીન પરથી દબાણ દૂર કર્યું છે. આ કામગીરીમાં પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી અને પી.આઈ. જે.એન. સોલંકી સહિત ચોટીલા પોલીસ ટીમે ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:26 am

દીકરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ‎ યોજાયો:બોટાદ જિલ્લામાં દીકરીઓની સુરક્ષા તેમજ સ્વાવલંબન માટે મહા-અભિયાન

બોટાદ જિલ્લાના હડદડ ખાતે આવેલી કષ્ટભંજન વિદ્યા મંદિરમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન હેઠળ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને જાતીય ગુનાઓ અને ડિજિટલ યુગના જોખમો સામે સજ્જ કરવાનો હતો. ગુડ ટચ-બેડ ટચ અને કાર્યક્રમમાં ખાસ કરીને બાળકો સામેના જાતીય ગુનાઓ (POCSO Act-2012) અંગે સમજણ આપવામાં આવી હતી. અજાણી વ્યક્તિની લોભ-લાલચમાં ન આવવા અને શાળાએ આવતી-જતી વખતે સતર્ક રહેવા સૂચના અપાઈ, 'ગુડ ટચ' અને 'બેડ ટચ' વચ્ચેનો તફાવત સમજાવી, મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે તાત્કાલિક પગલાં લેવા તે અંગે માર્ગદર્શન અપાયું. આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના સુરક્ષિત ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ અને ઇન્ટરનેટના જોખમોથી બચવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી હતી. સરકારી યોજનાઓ અને હેલ્પલાઇનનો વ્યાપક પ્રચાર કાર્યક્રમમાં મહિલા અને બાળ સુરક્ષા માટે કાર્યરત વિવિધ સેવાઓ અને યોજનાઓની માહિતી અપાઈ હતી. આ તકે શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલસરીયા, ટ્રસ્ટી જગદીશભાઈ કાલસરીયા અને આચાર્ય અરવિંદભાઈ બાવળીયા સહિતના સ્ટાફે મહિલા અભયમ અને સાયબર ક્રાઇમ ટીમની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:14 am

SOGની કાર્યવાહી:દુબઇના સાઇબર માફિયાના કહેવાથી આણંદના 5 એકાઉન્ટની બેંક કીટ લેવા આવેલા 2 ઝડપાયા

આણંદ એસઓજીની ટીમે‎શુક્રવારે મોડી રાત્રે બાતમી મુજબ‎આણંદ શહેરની સામરખા ચોકડી‎પાસે આવેલી કારને રોકી લઈ બે‎કારમાં સવાર બે શખસોને ઝડપી‎પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં‎ડ્રાઇવિંગ કરનારો શખસ ઉમંગ‎વિનોદ જોષી અને તે સાણંદનો‎રહેવાસી જ્યારે તેની બાજુમાં જય‎રોહિત ઠક્કર અને તે રાધનપુરનો‎રહેવાસી હોવાનું જણાવ્યું હતું.‎ પોલીસે બાતમીના આધારે કારમાં‎તપાસ કરતા અલગ અલગ‎બેંકની પાસબુક, એટીએમ કાર્ડ,‎મોબાઈલ મળી આવ્યા હતા. જોકે,‎આ બાબતે પૂછપરછ કરતા બંને‎કોઈ સંતોષકારક જવાબો આપી‎શક્યા ન હતા. જેથી તેમની સઘન‎પુછપરછ કરતાં કરતા ઉમંગ‎છેલ્લાં ત્રણ વર્ષથી રૂપિયા 15‎હજારમાં મણીપ્રભુ એપાર્ટમેન્ટ‎નવરંગ સ્કૂલની સામે નવરંગપુરા‎અમદાવાદ ખાતે રહેતા જૈમીન ઉર્ફે‎ગોલુ ઈશ્વરલાલ ઠક્કરને ત્યાં‎નોકરી કરતો હોવાનું જણાવ્યું‎હતું. જયમીન ઉર્ફે ગોલું તેનો‎બનેવી થાય છે અને તે હાલમાં‎છેલ્લાં ચારેક વર્ષથી દુબઈ છે.‎જયમીનના કહેવાથી તે ચાર‎વખત બેન્કની કીટો લઈ ગયો‎હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને‎પાસેથી રૂપિયા 76 હજારની‎કિંમતના 15 જેટલા અલગ અલગ‎કંપનીના મોબાઈલ, બેન્કની‎સામગ્રી તેમજ કાર મળી રૂપિયા‎10.76 લાખનો મુદ્દામાલ કબજે‎કરી બંનેની અટકાયત કરી હતી.‎જોકે, જયમીન ઠક્કર નામનો‎શખસ હાલ દુબઈમાં હોઈ વોન્ટેડ‎છે. જોકે, પોલીસ દ્વારા કબજે‎કરાયેલી તમામ પાસબુકમાં કુલ‎થયેલા નાણાકીય વ્યવહારોને‎વેરીફાય કરવાની પ્રક્રિયા કરવામાં‎આવી રહી છે. જેમાં પ્રાથમિક‎તબક્કે લાખો રૂપિયાની નાણાકીય‎વ્યવહાર થયાનું લાગી રહ્યું છે.‎જોકે, આ ગુનો જામીનપાત્ર હોય‎બંને શખસને કોર્ટમાં રજૂ કરાયા ન‎હોવાનું પોલીસસૂત્રો દ્વારા જાણવા‎મળ્યું છે. જોકે, આગામી સમયમાં‎જે પણ ખાતાધારકો છે તે તમામને‎બોલાવીને તમામની પૂછપરછ‎કરવામાં આવશે. જૈમીન ઠક્કર‎હાલમાં દુબઈમાં છે અને ત્યાંથી જ‎તે સમગ્ર નેટવર્ક ચલાવતો હતો.‎તેનો સાળો ગુજરાતમાં રહીને‎લોકોને કમિશનની લાલચ‎આપીને બેન્ક એકાઉન્ટની ડિટેઈલ‎લઈને તેમાંથી તેમના જે મોબાઈલ‎પર ઓટીપી આવે તે આપતો હતો. ‎જય ઠક્કર ગુજરાતમાં રહેતો હોઈ‎અલગ-અલગ જિલ્લાઓમાં‎જઈને લોકો સાથે મળીને વાતચીત‎કરીને વિશ્વાસ જીતતો હતો. જુદી‎જુદી બેન્કની કીટ લઇ આવીને‎ખાતાઓમાં છેતરપિંડી કરીને‎મેળવેલા ઓનલાઇન ફ્રોડ અને‎ગેમીંગના નાણાં જમા કરાવ્યા‎બાદ તેઓની બેંક કીટવાળા‎મોબાઈલ ફોન પર ઓટીપી‎મેસેજમાં આવે તે ઓટીપી મેસેજ‎પાસવર્ડ જૈમીનને મોકલી આપતો‎હતો.‎

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:07 am

સન્ડે ફોટો સ્ટોરી:બુલેટ ટ્રેન : ચરોતરમાં સ્લેબ બેલાસ્ટ લેસ સિસ્ટમથી ટ્રેક નાખવાનું શરૂ

નડિયાદ અને આણંદ વચ્ચે તૈયાર થઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. માળખાકીય ઢાંચો તેમજ સ્ટીલ વર્ક કોન્સર્સ સ્લેબ અને ટ્રેક સ્લેબ નાખવાની પણ કામગીરી પૂર્ણ થયા બાદ હવે ટ્રેકની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વીજળીકરણ અને લિફ્ટની ફિનિશિંગની કામગીરી પણ પૂર્ણ થવા પર છે. 415 મીટર લાંબા પ્લેટફોર્મ અને 44,073 ચોરસ મીટરનો કુલ બિલ્ટઅપ વિસ્તાર સાથે ટ્રેક સ્લેબ સહિત હાઈ સ્પીડ રેલ માટે વિશિષ્ટ માળખાગત સુવિધાઓ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. આણંદમાં એક વિશિષ્ટ ટ્રેક સ્લેબ ફેક્ટરી ટી - 3 પેકેજ માટે ફ્રી કાસ્ટ રી ઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ ટ્રેક સ્લેબનું ઉત્પાદન કરી રહી છે. રોજના 60 સ્લેબનું ઉત્પાદન કરી, આશરે 175 ટ્રેક કિલોમીટરના સમકક્ષ સ્લેબ તૈયાર થયા છે. આ પ્રોજેક્ટમાં જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્લેબ બેલાસ્ટ લેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં ટ્રેક ઇન્સ્ટોલેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:04 am

વેરાવળ-સોમનાથમાં SUDAના કારણે દોઢ વર્ષથી બાંધકામ મંજૂરી અટકી:બિલ્ડરોમાં અસંતોષ, આંદોલનની ચીમકી; સરકારે હૈયાધારણ આપી

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બાંધકામ ક્ષેત્રે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) અસ્તિત્વમાં આવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી બાંધકામ સંબંધિત તમામ મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી પડી છે. આના કારણે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. આ મુદ્દે વેરાવળ ખાતે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર, ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા અને પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ માનસિંગ પરમાર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે દોઢ વર્ષથી મંજૂરી ન મળવાને કારણે આર્થિક સંકટ ઊભું થયું છે અને રોજગાર પર પણ તેની સીધી અસર પડી રહી છે. વેરાવળ સોમનાથ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ બાદલ હુંબલ અને ઉપપ્રમુખ અશોક ગદા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ અંગે રાજ્ય સરકાર સાથે અનેક વખત બેઠકો યોજાઈ હોવા છતાં હજી સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. તેમણે આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સરકારી જનપ્રતિનિધિઓએ ફરી એકવાર હૈયાધારણ આપી હતી કે, આ મુદ્દે રાજ્ય સરકાર સાથે આગામી દિવસોમાં ફરી વાટાઘાટો કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી સહિતના પ્રતિનિધિઓએ પણ સ્વીકાર્યું હતું કે, યોગ્ય નિર્ણયના અભાવે હાલ પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા દિશા-નિર્દેશ પરિપત્રથી વેરાવળ-સોમનાથને કોઈ ખાસ ફાયદો થતો નથી. પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરારે ખુદ જાહેર મંચ પરથી આ બાબત સ્વીકારી હતી, જેના કારણે સ્થાનિક બાંધકામ ક્ષેત્રમાં વધુ નિરાશા જોવા મળી રહી છે. હવે તમામની નજર રાજ્ય સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે. વહેલી તકે સ્પષ્ટ અને અસરકારક નિર્ણય લેવાય તો જ વેરાવળ-સોમનાથનું બાંધકામ ક્ષેત્ર ફરી ગતિ પકડી શકે, અન્યથા આ મુદ્દો આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:03 am

હુમલો:આમરોલમાં જમણવારમાં અથડાવવા બાબતે 2 ભાઇઓ પર સશસ્ત્ર હુમલો

આંકલાવ તાલુકાના આમરોલ ગામે રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તારમાં રામદેવપીરના પાઠ દરમ્યાન રાખેલ જમણવારમાં અથડાવવા અને જમતી વખતે બોલાચાલી કેમ કરેલ તેમ કરી ત્રણ શખ્સોએ આસરમાં ગામના બે પિતરાઈ ભાઈઓને ચપ્પુ, લાકડી અને હાથમાં પહેરવાના કડાથી ઇજા કરી ધમકી આપ્યાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકમાં નોંધાઈ છે. આંકલાવ તાલુકાના આસરમા ગામે રામપુરા સીમ સરકારી ટ્યુબેલ પાસે વિરેન્દ્રસિંહ મુકેશભાઈ પઢીયાર રહે છે. ગત ગુરુવારે નજીકમાં આવેલ આમરોલ ગામે સર્વોદય નગર સીમ વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભાઈલાલભાઈ પરમારને ત્યાં રામદેવપીરનો પાઠ હોઈ અને જમવાનુ આમંત્રણ હોવાથી રાત્રે આઠ વાગે વિરેનદ્રસિંહ પોતાના પિતરાઈ હાર્દીકભાઈ સાથે આમરોલ ગામે પાઠમાં ગયા હતા. અને જમતા હતા ત્યારે હાર્દીકભાઈને જમતી વખતે આમરોલ ગામના જગદીશભાઈ, દીશાંગભાઈ અને અજયભાઈ સાથે અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. દરમ્યાન રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં વિરેન્દ્રસિંહ અને તેઓના પિતરાઈ હાર્દિકભાઈ પરત ઘરે જતા હતા ત્યારે આમરોલ ગામે રહેતા જગદીશભાઈ ઉર્ફે ફલુ લક્ષ્મણભાઇ પરમાર, દીશાંગ ગણપતભાઈ પરમાર અને અજય વિક્રમભાઈ ઠાકોરે ભેગા મળી આમરોલ રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તાર પાસે હાર્દિકે જમતી વખતે અમારી સાથે કેમ બોલાચાલી કરી હતી તેમ કહી અપશબ્દો બોલતા વિરેન્દ્રસિંહે અપશબ્દો બોલવાની ના પાડતા જગદીશભાઈએ લાકડીની ઝાપોટ માથાની પાછળના ભાગે મારી તેમજ દીશાંગ પરમારે ચપ્પાથી ડાબી આંખ ઉપરની સાઈડે ઇજા કરી હતી. જ્યારે અજય ઠાકોરે હાથમાં પહેરવાના કડાથી હાર્દિકભાઈને માથાની પાછળના ભાગે તેમજ બરડામાં મારી ઇજા કરી હવે પછી અમારા ગામમાં આવશો તો હાથ પગ ભાંગી નાખીશું તેમ કહી ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે વિરેન્દ્રસિંહ મુકેશભાઈ પઢીયારની ફરિયાદ લઈ આંકલાવ પોલીસે જગદીશભાઈ ઉર્ફે ફલુ લક્ષ્મણભાઈ પરમાર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:03 am

આણંદના 2 શિક્ષકોના મોત થતા સહકારી મંડળીનો નિર્ણય‎:મૃત્યુ પામનાર 2 શિક્ષકોના પરિવારને રૂા.18 લાખ સહાય આપવાનો નિર્ણય

આણંદ જિલ્લામાં બીએલઓની કામગીરી કરતાં બે શિક્ષકોના મોત નિપજયા છે.ત્યારે આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીએ પરિવારને શાંત્વના ભાગરૂપે રૂ.18 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ શ્રધ્ધાજંલી શિક્ષક ગણ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. આણંદના મેઘવા પ્રાથમિક સાળામાં શિક્ષક રાજુલકુમાર અનિલભાઇ ગુર્જર અને નાપાડ પ્રાથમિક શાળાના શિક્ષક રજનીકાંન્ત જયંતિભાઇ પરમાર જેઓ આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના સભાસદ હતો.તે બંને શિક્ષકના શનિવાર મોત નિપજયા છે.જેથી શિક્ષક ગણ દ્વારા શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના સભાસદ યોજના અંતર્ગત રૂ.18 લાખની સહાય મંડળીના ચેરમેન નરેન્દ્રસિંહ મહિડા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.તેમજ મંડળીના તમામ સભ્યો વતી શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:02 am

ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાનો દુ:ખાવો બની:આણંદની કરમસદ ચોકડી ખાતે ટ્રાફિક પોઇન્ટ નહીં હોવાથી અંધાધૂધી, એમ્બ્યુલન્સ ફસાઇ

કરમસદ આણંદ મનપા વિસ્તારો વ્યાપ વધી રહ્યો છે.તેની સાથે વસ્તી વધતાં વાહનોની અવરજવર વધી ગઇ છે. જેના કારણે કરમસદ ગામે સોજિત્રા રોડ પર આવેલી ચોકડી પર ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. હાલમાં પેટલાદ,સોજિત્રા અને તારાપુર તરફ આવતા નોકરિયાત વાહનો સવાર અને સાંજ મોટી સંખ્યામાં પસાર થાય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાહનચાલકો એક કલાક સુધી અટવાઇ જાય છે. શનિવાર સાંજના તો ટ્રાફિકમાં કરમસદ હોસ્પિટલમાં દર્દીને લઇને જતી 108 એમ્બ્યુલન્સ વાન ફસાઇ ગઇ હતી. મહા મહેનતે 20 મિનિટ બાદ બહાર નીકળી શકી હતી.જેને લઇને સ્થાનિકોએ તાત્કાલિક ચોકડી પર ટ્રાફિક પોઇન્ટ બનાવવાની માંગ કરી રહ્યાં છે. આણંદમાં મુખ્યત્વે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે તે બોરસદ ચોકડી, ગ્રીડ ચોકડી, ભાઈકાકા ચોકડી, ભાલેજ ચોકડી, કરમસદ ચોકડી, મોટા બજાર, ટાઉનહોલ વગેરે છે. ટીઆરબીના અને પોલીસના જવાનોના અપૂરતા બંદોબસ્તને લીધે સાંજના સમયે ખૂબ જ ટ્રાફિકજામ થઈ જાય છે અને આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ જવા માટે જગ્યા મળતી નથી. તો તંત્ર દ્વારા લોકોના સહયોગથી અને લોકજાગૃતિથી આનો ઉકેલ લાવે એવું પ્રજાજનો ઈચ્છે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:02 am

હત્યાનો મામલો:ખંભાતના વત્રામાં પરિણીતાની હત્યા કરેલી લાશ ખેતરમાંથી મળી,આડા સંબંધની શંકા

ખંભાત તાલુકના વત્રા ગામે દરબાર ફળિયામાં રહેતી 37 વર્ષની પરિણીતા શુક્રવાર રાતથી ગુમ થઇ હતી.શનિવાર સવારે ગામની સીમમાં આવેલા તમાકુના ખેતરમાંથી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.પોલીસ ઘટનાસ્થળે જઇને તપાસ કરતાં માથાના પાછળના ભાગે અને નાકે તીક્ષ્ણ હથિયારના ત્રણથી વઘુ ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકને ગામના જ શખ્સ સાથે આડા સંબંધ હોવાને લઇને પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક એસ બી કુંપાવતે જણાવ્યું હતું કે, વત્રા ગામમાં રહેતા ધર્મેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 45 ખેતી કરે છે. તેઓ પોતાની પત્ની સારિકા પટેલ ઉંમર વર્ષ 37 અને બે બાળકો સાથે ગામમાં રહે છે. તે દરમિયાન શુક્રવારના રોજ સાંજના સમયે ધર્મેન્દ્રભાઈ પટેલના પત્ની સારિકા પટેલ ઘરેથી નજીકમાં રહેતાં પાડોશીના ઘરે બેસીને આવું છું. તેમ કહીને નીકળ્યાં હતાં. ઘણો સમય થવા છતાં પરિણીતા સારિકા પટેલ ઘરે પરત ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં અને સારિકા પટેલની શોધખોળ કરવા છતાં ક્યાંય મળી આવી ન હતી. મોડી રાત થઇ જતાં સવારે તપાસ કરીશું કોઇ સબંધી ત્યાં ગઇ હશે. તે માની લીધુ હતું. તે દરમિયાન શનિવાર સવારના સમયે ખંભાતના વત્રા ખોડિયાકુવા નજીક સીમ વિસ્તારમાં આવેલા તમાકુનાં ખેતરમાંથી તેણીની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પરિણીતા સારિકા પટેલના માથાના પાછળના ભાગે અને નાકના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ત્રણથી વઘુ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું હતું. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.જેને લઇને પોલીસે સારિકા પટેલના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ખંભાત રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને એલસીબી સાથે મળીને ત્રણ ટીમો બનાવીને સારીકા પટેલના હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.જે પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:01 am

શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરાયું:થર્ટી ફર્સ્ટને લઇને આણંદજિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ

આગામી 31મી ડિસેમ્બરને લઇને આણંદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે શહેરમાં પ્રવેશના માર્ગો પર ઠેર ઠેર સધન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચેકીંગ દરમિયાન કોઇ શંકાસ્પદ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિતે વિદેશી દારૂની હેરાફેરી અટકવાવા માટે આણંદ શહેરની સામરખા ચોકડી, ચિખોદરા ચોકડી, બોરસદ ચોકડી સહિત જિલ્લા પ્રવેશદ્વારા પાસે પોલીસે નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવે છે. શહેરમાં કોઇ દારૂ પીને ફરતા નથી તેની ચકાસણી માટે શંકા જાય તો શખ્સને ઉભા રાખીને મશીન ચેકીંગ કરવામાં આવે છે. સાથે આણંદ વિદ્યાનગર સહિત આસપાસના ફાર્મ હાઉસ પણ કોઇ હિચાલ થતી અટકાવવા માટે સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:00 am

લોકાર્પણ:50 લાખના ખર્ચે તૈયાર નરવાદાર પાટીદાર ભવનનું લોકાર્પણ

આણંદ જિલ્લાના ભરોડા ગામ ખાતે 50 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત નરવાદાર પાટીદાર સમાજ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ સમાજભવન સમાજ માટે મહત્વપૂર્ણ ઐતિહાસિક અને સામાજિક વારસો બનશે. આ ઉપરાંત નવનિર્મિત ભવનનો ઉપયોગ સમાજના લોકો સહિત ગામના તમામ નાગરિકો માટે શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ, કમ્પ્યુટર ક્લાસ, પુસ્તકાલય, યોગ તથા ધ્યાન શિબિરો તેમજ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કરવામાં આવશે. આ ભવનનું નિર્માણ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ અને વર્ષાબેન પટેલના પિતા સ્વ. ભાઈલાલભાઈ પટેલના એકસોમાં જન્મદિવસ પૂર્ણ થવાના શતાબ્દી મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:59 am

ક્ષત્રિય સમાજના ખોટા કુરિવાજો બંધ કરવા નિર્ણયો લેવાયા:આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની કારોબારી મિટિંગ યોજાઇ

આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની આણંદ ખાતે કારોબારી મિટિંગ યોજાઇ હતી. ત્યારે મિટિંગમાં સમાજની જાગૃતિ લાવવી, શિક્ષણ સુધારણા, વ્યસન મુક્તિ સહિત કુરિવાજો બંધ કરી દેવા સહિત જરૂરી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત વિગત મુજબ આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘના પ્રમુખ પુરષોત્તમ દાસ, અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન કાંન્તિભાઇ શોઢા પરમાર સહિતના અગ્રીણયો અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં. કારોબારીમાં મિટિંગમાં સમાજલક્ષી ઠરાવો કરી અમલીકરણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સમાજના અગ્રણીયોએ આર્થિક રીતે સાથ સહકાર આપવા અંગે અનુરોધ કર્યો હતો.જો કે આગામી દિવસોમાં આણંદ-ખેડા જિલ્લામાં ક્ષત્રિય સુધારક સંઘનું અદ્યતન કાર્યાલય પોતાના મકાનમાં શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:58 am

ગોઝારો અકસ્માત સર્જાયો:વાસદ તારાપુર હાઇવે પર બોદાલના ગેટ સામે કારની ટકકરે યુવકનું મોત

બોરસદ તાલુકાના દાવોલ-બોદાલ ગામ નજીકથી પસાર થતા વાસદ તારાપુર સીક્સલેન હાઇવે ઉપર શુક્રવારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા દાવોલ-બોદાલ ગામના યુવકને બોદાલ ગામના ગેટ સામે રોડ ઉપર પુરઝડપે આવી ચઢેલી કારના ચાલકે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યાની ફરિયાદ બોરસદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે. બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતા મહેન્દ્રભાઈ છગનભાઈ ભીમાભાઇ ચાવડા શુક્રવારે બપોરના અઢી વાગ્યાના અરસામાં ભત્રીજા દીપકભાઈ સાથે બોદાલ ગામે ખેતમજૂરી કામ માટે ગયા હતા અને સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘરની સામે બોદાલ ગામના ગેટ બાજુ વાસદ તારાપુર સીક્સલેન હાઇવે રોડ ઉપર તેઓનો ભત્રીજો દીપકભાઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી ચઢેલી એક કારના ચાલકે દીપકભાઈ ચાવડાને ટક્કર મારતા ગંભીર ઇજા થવાથી મોત થયુ હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:57 am

ઉનાળા અને ચોમાસામાં ગ્રાહકોને પડતી મુશ્કેલી થશે દૂર:આણંદ શાકમાર્કેટમાં જર્જરીત થઇ ગયેલો શેડ તોડી રૂ 10 લાખના ખર્ચે નવો બનાવાશે

આણંદ અમૂલ ડેરી રોડ પર આવેલા શાકમાર્કેટમાં કેટલાંક વેપારીઓ દ્વારા ગેરકાયદે ઓટલા કારણેને 40 ફૂટના બંને બાજુના માર્ગ 15 ફૂટ બની ગયો હતો. જેથી ગ્રાહકો અને શાકભાજી લઇને આવતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વખત આવતો હતો. જેને લઇને મનપાએ સૂચના પગલે ઓટલા દૂર કરીને બને બાજુના માર્ગ ખુલ્લા કરી દેવામાં આવ્યાં છે. હવે અવરજવર માટે એક બાજુથી પ્રવેશવાનો માર્ગઅને બીજી બાજુથી બહાર નીકળવાનો માટે રસ્તો ખુલ્લો કર્યો છે.તેમજ એક બાજુનો શેડ જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયો હોવાથી રૂ 10 લાખના ખર્ચે નવો શેડ બનાવવામાં આવશે. તેમ એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મોટી શાકમાર્કેટમાં ભીડને માહોલ સર્જાતા રાહદારીઓ હાલાકીઓનો ભોગ બની રહ્યા હતા.ત્યારે એપીએમસીએ ફરીયાદોને પગલે નોટીસ ફટકારીને ગેરકાયદેસ દબાણોનો સફાયો બોલાવી દેવાયો છે.આણંદ મનપા મંજુરી મળવાથી એક તરફનો જર્જરીત થઇ ગયેલ શેડ તોડી નાંખવામાં આવશે.જેના પગલે શેડ નીચે બેસતા કુલ 21થી વધુ વેપારીઓને અન્ય જગ્યા ફાળવણી કરવામાં આવશે. જો કે રૂ.10 લાખ ઉપરાંત રકમના ખર્ચે શેડ તૈયાર કરવામાં આવનાર હોવાથી રાહદારીઓ ચોમાસામાં વરસાદ પડતા હાલાકીઓનો ભોગ બનવુ નહીં પડે.હાલમાં સામરખા ચોકડી શાકમાર્કેટ અને મોટી શાકમાર્કેટ દબાણો દુર કર્યા બાદ વેપારીઓને ઓટલા બહાર શાકભાજીનું વેચાણ નહીં કરવા માટે સુચનાઓ આપી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:56 am

પાલીતાણા ડિવિઝનમાં ફેઝ-1માં કુલ 9,500 સ્માર્ટ મીટર લાગ્યા:નારાજગી વચ્ચે પાલિતાણામાં સ્માર્ટ વીજ મીટર નાખવાનો આરંભ

પીજીવીસીએલ પાલિલીતાણા ડિવિઝન નીચે આવતા પાલિતાણા, ગારિયાધાર, તળાજાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ છે આ સ્માર્ટ મીટર લગાવવા લોકો રાજી નથી. પીજીવીસીએલ પાલિતાણા ડિવિઝન નીચે આવતા 9 સબ ડિવિઝનનો પાલિતાણા ટાઉન, પાલિતાણા રૂરલ, ઘોડીઢાળ, ગારીયાધાર-1, ગારિરીયાધાર-2, તળાજા-1, તળાજા-2, ત્રાપજ, પીથલપુરમાં હાલ ફેસ એક નીચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ છે. પીજીવીસીએલમાંથી જાણવા મળેલ માહિતી મુજબ વીજળીના સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં અંદરખાને ગણગણાટ ચાલી રહ્યો છે છતાં પીજીવીસીએલ પોતાના ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ધીમે પગલે શરૂ છે. પાલીતાણા ડિવિઝન અંતર્ગત ફેઝ-1 ની કામગીરી અંતર્ગત દુકાનો, કારખાના, સરકારી કચેરી સહિતના કોમર્શિયલ વિભાગમાં સ્માર્ટ મીટર ફીટીંગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,500 મીટર લાગ્યા છે. સીધી વાત પ્રશ્ન : સ્માર્ટ મીટર લાગતા જુના મીટર હટી જશે કે કેમ? જવાબ : જૂનું મીટર હશે તે હટાવીને સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. પરંતુ મીટરની પેટી યથાવત રહેશે. જે મીટર પેટી તૂટી ગઈ કે બદલવાની જરૂર પડશે તેને જ હટાવીને નવી નખાશે. પ્રશ્ન : સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવો પડશે કે બિલ આવશે? જવાબ : જે જૂના મીટરમાં બિલ આવતું અને લોકોને બિલ ભરપાઈ કરવા માટેનો ચોક્કસ સમયગાળો મળતો એ જ રીતે સ્માર્ટ મીટરનું પણ બિલ આવશે અને રકમ ભરવાનો સમય મળશે. પ્રશ્ન : સ્માર્ટ મીટર આવવાથી લોકોને શું ફાયદો થશે? જવાબ : સ્માર્ટ મીટર લાગવાથી મોબાઇલમાં એક એપ્લિકેશન આવશે. જેમાં લોકો રોજ કેટલાય યુનિટનો વપરાશ કરી રહ્યા છે. તેનો આખો ડેટા લોકો ઘર બેઠા નિહાળી શકશે. પ્રશ્ન : એપ્લિકેશનમાં ડેટા ઉપરાંત કોઈ બીજી નવીનતા ખરી? જવાબ : લોકો માત્ર ડેટા જ નહીં જોઈ શકે પરંતુ ઘરમાં કોઈપણ ઈલેક્ટ્રિક લાઈનમાં વીજ કરંટ હોય કે જે તે ઉપકરણમાં સરખો વીજ પ્રવાહ પહોંચતો ન હોય તો તેની માહિતી મેસેજ મારફત એપ્લિકેશનમાં આવશે. પ્રશ્ન : જે લોકોને સ્માર્ટ મીટર લગાવવો ન હોય તો શું થશે? જવાબ : સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પણ જો કોઈ લોકો ના પાડશે તો અમારા ઇજનેર સહિતના સ્ટાફ દ્વારા સ્માર્ટ મીટરની પૂરી માહિતી આપી સમજાવવામાં પણ આવશે. જે.સી. ગૌસ્વામી, કા.પા.ઈ. PGVCL, પાલિતાણા ડિવિઝન

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:52 am

વિતરણ કેમ્પ યોજાયો:નિદાન-સારવાર અને ચશ્મા વિતરણના કેમ્પ યોજાઇ ગયા

ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો. રેડક્રોસ ના પૂર્વ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ શાહની 102મી જન્મ તિથિ નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ સાર્વજનિક દવાખાના,પ્લોટ ન.45, કે.પી.ઈ. એસ કોલેજ રોડ, ભગવતી સર્કલ પાસે, ચિન્મયાનંદ આશ્રમ ની બાજુમાં, કાળિયાબીડ, ભાવનગર ખાતે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પ મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં આંખો ના નંબર તપાસી ને 3 નંબર સુધી ના અને બેતાળા ચશ્મા વિતરણ,જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ, બી.પી તેમજ ડાયાબિટીસ તપાસ, હિમોગ્લોબીન તપાસ, હાડકા ની ધનતા માપવા માટે BMD ટેસ્ટ, તથા દર્દીઓ ને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવા માં આવી હતી. આ સાથે આસપાસ ની શાળાઓના વિધાર્થીઓ ભાઈઓ બહેનો ની હિમોગ્લોબીન ની તપાસ કરવા માં આવી હતી અને દરેક ને નાસ્તો આપવા માં આવ્યો હતો. રેડક્રોસના કાળિયાબીડ, ચાવડીગેટ, દીવાનપરા, ખારગેટ, ક.પરા અને વૃદ્ધાશ્રમ ખાતે ચાલતી ઓપીડી સેવાઓ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી, આ ઉપરાંત લાઠીદડ ગામ ખાતે થેલેસિમિયા પરીક્ષણ, નાની માજીરાજ શાળા ખાતે હિમોગ્લોબીન તપાસ કેમ્પ કરેલ. કેમ્પનુ દીપ પ્રાગટય મહેમાનો જીતુભાઇ ઉપાધ્યાય, તારકભાઈ શાહ, ગીરીશભાઈ શાહ, ડો.એમ.જી. દેસાઈ, કુલદીપસિંહ, ભરતભાઈ શાહ, મિતુલભાઈ શાહ, ધીરુભાઈ કરમટીયા, ડો.મિલનભાઈ, સુમિત ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, પરેશભાઈ ભટ્ટી, ડો પ્રકાશભાઈ ભટ્ટ, બકુલભાઈ ચાતુર્વેદીની ઉપસ્થિતિમાં યોજાયો

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:49 am

શાકંભરી નવરાત્રિ:પોષ સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થશે

શાકંભરી નવરાત્રી 28 ડિસેમ્બર 2025 રવિવારથી શરૂ થશે અને શનિવાર 03 જાન્યુઆરી 2026એ સમાપ્ત થશે. આ નવરાત્રી શુક્લ અષ્ટમીથી પોષ મહિનાની પૂર્ણિમા સુધી ઉજવવામાં આવે છે, જેમાં દેવી શાકંભરીની પૂજા કરવામાં આવે છે. દેવી શાકંભરી એ મા આદિશક્તિ જગદંબાના સૌમ્ય અવતાર છે. તેને શાકંભરી નામ મળ્યું કારણ કે તેણે શાકભાજી આપીને દુકાળ અને ભૂખમરાથી વિશ્વને મુક્ત કર્યું. માતા શાકંભરીની ઉપાસનાથી જીવનમાં સમૃદ્ધિ, આરોગ્ય અને ઐશ્વર્ય આવે છે. શાકંભરી નવરાત્રી દરમિયાન, ભક્તો ખાસ કરીને દેવીને તાજા ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ અર્પણ કરે છે, જે તેમના આશીર્વાદ મેળવવાનું એક માધ્યમ માનવામાં આવે છે. તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યુ હતુ. આખા વર્ષમાં ચાર નવરાત્રી ગણવામાં આવે છે, અશ્વિન મહિનાના શુક્લ પક્ષમાં શારદીય નવરાત્રિ, ચૈત્ર શુક્લ પક્ષમાં આવતી ચૈત્ર નવરાત્રિ, ત્રીજી અને ચોથી નવરાત્રી માઘ અને અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. પરંતુ તેની સિદ્ધિ માટે તંત્ર-મંત્રના સાધકો માટે વિશેષ ગણાતી શાકંભરી નવરાત્રી પોષ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે, જેનું સમાપન પોષ પૂર્ણિમાએ થાય છે. સમાપન દિવસે માતા શાકંભરી જયંતિ પણ ઉજવવામાં આવશે. શાકંભરી દેવીની પૂજા પોષ સુદ અષ્ટમીથી પોષી પૂર્ણિમા સુધી, દેવી ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય. માતાજીને શાકભાજીનો શણગાર કરાશે નેત્રોમાંથી અશ્રુ વરસાવી શાકંભરી દેવીએ શાકભાજી ઉત્પન્ન કરી વિશ્વનું પોષણ કર્યું હતું પોષ સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થશે. શાકંભરી નવરાત્રી દેવી ઉપાસના માટે ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે શાકંભરી નવરાત્રી નિમિત્તે માતાજીને વિવિધ શાકભાજીનો શણગાર પણ કરવામાં આવશે. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાં શાકંભરી નવરાત્રી પણ ખુબ મહત્વ ધરાવે છે. આ ગુપ્ત નવરાત્રી અત્યંત લાભકારક માનવામાં આવે છે. જ્યારે ધરતી ઉપર દુકાળ પડ્યો, વરસાદ ન પડ્યો ત્યારે રૂષીમુનીઓએ માતાજીને પ્રાર્થના કરી ત્યારે સ્વયં શક્તિ સ્વરૂપા માતાજીએ શતાક્ષી રૂપ પ્રગટ કર્યું હતું. શરીર પરના 100 નેત્રોમાંથી આંસુ વરસાવીને શાકંભરી માતાજીએ સૃષ્ટિને પાણી આપ્યું અને પછી શાકંભરી દેવીએ શાકભાજી ઉત્પન્ન કરીને વિશ્વનું પોષણ કર્યું હતું. જેથી શાકંભરી નવરાત્રી માનવ જીવનના પોષણ માટે ખુબ મહત્વ ધરાવે છે. શાકંભરી દેવીની પુજા પોષ સુદ અષ્ટમી થી પોષી પુર્ણિમા સુધી રહેશે. શાકંભરી નવરાત્રી દરમિયાન બ્રાહ્મણ દ્વારા દુર્ગાસપ્તસદીનો પાઠ કરાવવો, શક્ય તેટલા નવાણમંત્રના જાપ કરવા જોઈએ, શક્રાદય સ્તૃતીનો પાઠ કરવો અને કુંવારીકાઓને ભોજન કરાવી શૃંગારની વસ્તુઓ દાન કરવી શુભ મનાય છે. આ સમય પર દેવીની આરાધના અને ઉપસના કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. આ સમયે દેવીની ભકિત અને સેવા કરવાથી વિશેષ ફળ આ સમયે પ્રાપ્ત થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:49 am

નવતર પહેલ:ડાયાબિટીક દર્દીઓની હવે જિલ્લા કક્ષાએથી દેખરેખ થશે

મેડિકલ ક્ષેત્રે એક સાઈલન્ટ કિલર રોગ ગણાતા ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક વધારો થયો છે. પહેલા મોટાભાગે આધેડ વયના લોકોમાં જોવા મળતો ડાયાબિટીસનો રોગના દાયરામાં આજે નાની વયના બાળકોથી લઈને યુવા અને મોટી ઉંમરના લોકોને પણ સપડાઈ ગયા છે. જેમાં બાળકોને નાની ઉંમરમાં થતા જુવેનાઇલ ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક બાબત છે ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગે તાજેતરમાં શરૂ કરેલા જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમમાં હવે ડાયાબિટીસ પીડિત બાળ દર્દીઓની હવે ભાવનગર જિલ્લા કક્ષાએથી દેખરેખ રખાશે. ભાવનગર મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના ઉપક્રમે તાજેતરમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઈલ ડાયાબિટીસ) સારવાર અને નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓને સારવાર અને માર્ગદર્શન મળે તેવા આશયથી હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓના માતા-પિતા ભાવનગર મેડિકલ કોલેજના હેલ્પ લાઈન નંબર ઉપરાંત જારી કરાયેલી ગૂગલ ફોર્મ લિંક મારફતે પણ માહિતી આપી શકે છે. જુવેનાઇલ ડાયાબિટીસ માટે ભાવનગર મેડિકલ કોલેજના હેલ્પ લાઈન નંબર તથા ગૂગલ ફોર્મ લિંક મારફતે આવેલ માહિતીનું એકત્રીકરણ કરી દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં 0 થી 12 વર્ષ ઉંમરના ટાઈપ-1 ડાયાબિટીસ મ્લાઇટ્સ (જુવેનાઇલ ડાયાબિટીસ)ના દર્દીઓ માટે સર.ટી.ના બાળરોગ વિભાગના HOD પ્રોફેસર ડો.મેહુલ ગોસાઈ થતા 12 વર્ષથી વધુ ઉંમરના ટાઈપ-1 ડાયાબિટીસ મ્લાઇટ્સ ના દર્દીઓ માટે સર.ટી.ના મેડિસિન વિભાગના HOD પ્રોફેસર ડો. સુનિલ પંજવાણીનો રૂબરૂ સંપર્ક કરી શકશે. હેલ્પ લાઈન અને ગૂગલ ફોર્મથી માહિતી આપી શકાશેભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને સર.ટી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા જુવેનાઇલ ડાયાબિટીસ સારવાર સેન્ટર મારફતે જુવેનાઇલ ડાયાબિટીસ પીડિત દર્દીઓની સલાહ અને સારવાર આપવામાં આવશે.જે માટે હેલ્પ નંબર : 95123-04381 પર તથા ગૂગલ ફોર્મનો નિ યત ક્યુ.આર. કોડ સ્કેન કરી જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓના માતા-પિતા માહિતી આપી શકશે. જે માહિતીના આધારે દર્દીઓની ડાયાબિટીસ સારવાર સેન્ટર મારફતે દેખરેખ રાખી શકાશે ભાવનગર શહેર અને જિલ્લામાં સઘન કામગીરી કરાશેરાજ્યમાં આરોગ્ય વિભાગના જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત દર્દીઓને પૂરતા માર્ગદર્શન સાથે જરૂરી સારવાર મળે તે માટે ભાવનગર શહેર અને જિલ્લામાં સઘન કામગીરી કરાશે. - ડો.ચિન્મય શાહ ડીન, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:47 am

રેલવે તંત્ર દ્વારા નિર્ણય:રેલવે દ્વારા ભાવનગર-બાન્દ્રા સહિત 4 ટ્રેનોની ફ્રિકવન્સી ફેબ્રુ. સુધી લંબાવાઈ

ભાવનગર રેલવે ડિવિઝન તળેની 4 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરોના મળી રહેલા અભૂતપૂર્વ આવકારને કારણે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવ. ડિવિઝનના સીનિયર ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 26 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 25 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ભાવ.-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ભાવનગર-ધોળા સ્પેશિયલ અગાઉ 31 ડિસે. 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફરવરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવાઈ છે. ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલતા કામને લીધે ધોળા–ભાવ.ધોળા દૈનિક સ્પેશિયલ ટ્રેન 25 જાન્યુઆરી, 2026 સુધી રદ રખાઈ છે. આ કામ પૂર્ણ થયા બાદ ટ્રેનને 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી વિસ્તૃત કરાઈ છે. અભૂતપૂર્વ આવકાર છતા કટકે કટકે એક્સટેન્શનભાવનગર રેલવે ડિવિઝનની 0 નંબરથી શરૂ થતી સ્પેશિયલ ટ્રેનો જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે, અને રેલવેને પણ તેની નોંધપાત્ર આવક મળી રહી છે. પરંતુ આ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી ત્રણ-ત્રણ મહિના માટે વધારવામાં આવે છે, કાયમી ધોરણે આ ટ્રેનો ફાળવવામાં આવે તો મુસાફરોના આયોજનો શક્ય બની શકે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:46 am

વેધર રિપોર્ટ:રાત્રે તાપમાન સામાન્યથી 3 ડિગ્રી વધુ

ભાવનગર શહેરમાં ડિસેમ્બરનો અંત ભાગ આવી ગયો છતાં કડકડકતી ઠંડી જામી નથી. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. શહેરમાં આજે રાતના સમયે સામાન્ય કરતા 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ. જ્યારે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. પવનની દિશા ઉત્તરની ન થતા અને બરફવર્ષાના પવનની અસર ભાવનગરમાં ન આવતા હજી કોલ્ડ વેવ સર્જાયો નથી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 16.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરના સમયે તાપમાન ઘટી રહ્યું છે પણ રાતના સમયે શિયાળાના મધ્ય જેવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી. શહેરમાં બે દિવસ હવાનું પ્રદૂષણ વધશેભાવનગરમા રવિવાર તથા સોમવારના રોજ સવારના 6થી9 ધુમ્મસવાળી સવાર લાગશે એટલે હવા ધુમ્મસ-ધુમાડો અથવા ધૂળથી ભરેલી રહેશે. જેના કારણે દૃશ્યતા ચારથી 6 કિલોમીટર સુધી ઘટી જવાની શકયતા છે વાતાવરણ અસ્પષ્ટ બનસે અને વસ્તુઓ ઝાંખી અથવા અસ્પષ્ટ દેખાશે વળી સૂર્ય વરાળના પડદામાંથી નિસ્તેજ ડિસ્ક જેવો દેખાશે. વસ્તુઓ ઓછી તીક્ષ્ણ અને વધુ અસ્પષ્ટ અને ઝાંખી દેખાશે. સવારનુ તાપમાન 15 ડિગ્રીથી 16 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેમજ ભેજ 65થી 70% રહેશે. હવાની ગુણવત્તા 140થી160 જેને બીનઆરોગ્યપદ ગણી શકાય. પવનની ઝડપ હળવી 5-7 કિમી/કલાક રહેશે. PM નુ સ્તર wHO ની માર્ગદર્શિકા કરતા 5થી 6 ગણુ વધારે રહેશે જે હાનિકારક બનશે [PM એટલે હવામા તરતા કણો] - બી.આર. પંડિત, હવામાનશાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:45 am

નવી ડાયરીની માર્ચ પછી કોર્પોરેટરોની વિગત નિરર્થક:માત્ર 74 દિવસ માટે કોર્પો.ની મેજ ડાયરી માટે 6.80 લાખનો ખર્ચ કર્યો

ભાવનગર કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ મેજ ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. આગામી વર્ષ મહાનગરપાલિકાની ચૂંટણીનું વર્ષ છે. અને વર્તમાન બોડીની મુદત પણ માર્ચ 2026 માં પૂર્ણ થાય છે. તેમ છતાં જાન્યુઆરી થી ડિસેમ્બર 2026 સુધીની કોર્પોરેશનની રૂ.6.80 લાખના ખર્ચે 2000 મેજ ડાયરી પ્રસિદ્ધ કરવાની સંપૂર્ણ તૈયારી છે. માર્ચ પછી નવી ચૂંટાઈને આવનાર બોડીને નવ મહિના જુના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની પ્રસિદ્ધિ પચાવવી પડશે. ભાવનગર કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતી મેજ ડાયરી માહિતી સભર હોય છે. તેમાં પ્રસિદ્ધ કરવામાં આવતા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓના ફોટા અને એડ્રેસ સાથેના સંપર્ક નંબરો અને કોર્પોરેશનના તમામ વિભાગોના મુખ્ય જવાબદાર અધિકારીઓના સંપર્ક નંબરો તેમજ શહેરના અગત્યના સંપર્ક નંબરો પ્રજાજનો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. સાથોસાથ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોની મુખ્ય કામગીરી સહિતની વિગતો પણ લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીનું વર્ણન કરે છે. કોર્પોરેશનની મેજ ડાયરી ભૂતકાળમાં નાણાકીય વર્ષ પ્રમાણે માર્ચથી એપ્રિલ દરમિયાન બહાર પાડવામાં આવતી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી કેલેન્ડર વર્ષ મુજબ એટલે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના પેઇઝ પ્રમાણે મેજ ડાયરી પ્રકાશિત કરવામાં આવી રહી છે. આગામી જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 સુધીની મેજ ડાયરી પ્રસિદ્ધ કરવા માટે તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારી પૂર્ણ થઈ છે. જેનો 6.80 લાખ ખર્ચ થવા જઈ રહ્યો છે. કોર્પોરેશનની વર્તમાન બોડીની ટર્મ આગામી માર્ચ 2026 માં પૂર્ણ થશે. અને ત્યારબાદ નવી ચૂંટાયેલી બોડી સત્તા પર રહેશે. પરંતુ નવા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને 9 મહિના જુના નગરસેવકોના ફોટા અને કામગીરી જોવી પડશે. અને નવ મહિના સુધી જુના નગરસેવકોની વિગતો જ લોકો સમક્ષ રહેશે. એટલે કે, તેટલી વિગત અર્થવિહીન બની રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:44 am

સન્ડે બિગ સ્ટોરી:માફીયાઓએ 3 વર્ષમાં 28,175 મેટ્રિક ટન ખનીજની ચોરી કરી

શહેર જિલ્લામાં અસામાજીક તત્વો, દેશી વિદેશી દારૂના બૂટલેગરો, ડ્રગ્સ પેડલરો બાદ હવે ખનીજ ચોરો નો પણ આંતક સામે આવ્યો છે. જિલ્લામાં ખનિજ ચોરો દ્વારા ત્રણ જ વર્ષમાં 28175 મેટ્રિક ટન ખનીજ ની ઘોર ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે જ્યારે ખાન ખનીજ વિભાગે ત્રણ વર્ષમાં 11.07 કરોડની દંડની વસૂલાત કરી છે. ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ સામે ભાવનગર ખાન ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષ માં રેતી, માટી, મોરમ, સોફ્ટ મોરમ, કપચી તથા ડુંગર ખનિજના ગેરકાયદે ખનનમાં ભારે વધારો નોંધાયો છે. ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધુ માટી અને મોરમનું ખનન થતાં સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે. ભાવનગર જિલ્લામાં એક જ ખનિજ ચોર અનેક વખત ઝડપાયો હોવાની નોંધ પણ મળી છે. ખાસ કરીને ભાવનગર, ઘોઘા, તળાજા, સિહોર અને ગારિયાધાર પંથક ગેરકાયદે ખનનના હોટસ્પોટ બન્યા છે. એકજ ખનીજ ચોર અનેકવાર તસ્કરીમાં ઝડપાયા ખનન, વહન અને સંગ્રહના 801 કેસો કરાયાભાવનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ખનન, વહન અને સંગ્રહ ના 801 જેટલા કેસોમાં અનેક ખનિજ માફીયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે અને 11 કરોડ થી વધુનો દંડ ફટકાર્યો છે. આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. - જાલોનધ્રા ભૂસ્તર શાસ્ત્રી ભાવનગર

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:42 am

રાજકોટનું પત્તું કપાયું:રાજકોટ ભાજપની અસંગઠિત ટીમ પ્રદેશ સંગઠનમાંથી પણ કપાઇ ગઇ

ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં મહામંત્રી પદ રાજકોટને મળશે તેવો માહોલ રાજ્યભરમાં હતો, પરંતુ શનિવારે મોડીસાંજે પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર થઇ તેમાં રાજકોટનું પત્તું કાપી નખાયું છે. મંત્રીમંડળમાં પણ અનેક ધારાસભ્યો દાવા કરી રહ્યા હતા અને સંગઠનમાં પણ કેટલાક નામો આગળ દોડી રહ્યા હતા, પરંતુ યાદી જાહેર થઇ ત્યારે આગળ દોડતાં ઘોડા ચિત્રમાં ક્યાંય નહીં દેખાતા શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો. પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર થયું જેમાં ચાર મહામંત્રીના નામો જાહેર થયા તેમાં રાજકોટ જિલ્લાના ડો.પ્રશાંત કોરાટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ તરીકે રાજકોટ શહેરના પ્રશાંત વાળાને સમાવવામાં આવ્યા છે આ સિવાય યાદીમાં રાજકોટ શહેર કે જિલ્લાના એકપણ આગેવાનનો સમાવેશ થયો નથી. એટલું જ નહીં યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા, ઓબીસી મોરચા, એસ.સી. મોરચા, એસ.ટી. મોરચા અને લઘુમતી મોરચાના પ્રમુખની 5 જાહેરાત કરવામાં આવી છે અને આ એકપણ મોરચામાં રાજકોટ શહેરનો સમાવેશ નહીં કરી રાજકોટ ભાજપને પ્રદેશે જોરનો ઝટકો આપ્યો છે. પ્રદેશ મહામંત્રી પદ માટે રાજકોટમાંથી સૌથી આગળ ડો.ભરત બોઘરાનું નામ ચાલતું હતું. આ ઉપરાંત પણ બે નામની પ્રબળ દાવેદારી હતી, પરંતુ યાદી જાહેર થઇ તેણે સૌને ચોંકાવ્યા હતા. ડો.પ્રશાંત કોરાટની નિયુક્તિથી રાજકોટ શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો. વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ શહેરનો રાજ્યભરમાં દબદબો હતો, પરંતુ તેમના નિધન બાદ શહેર ભાજપની હાલત કફોડી બની છે, દરેક આગેવાન પોતાનું રાજકારણ મજબૂત કરવા પોતાનાને સ્થાન અપાવવા અને પોતાનું સ્થાન મજબૂત કરવા મથી રહ્યા છે. પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવી ભાજપે રાદડિયાને ઝટકો આપ્યોનવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા નિશ્ચિત છે. તેમને કેબિનેટ મંત્રી બનાવાશે તેમનો કોઇ વિકલ્પ નથી, તેમની કોઇ સ્પર્ધા નથી આવી અનેક વાતો રાજકીય પંડિતો અને રાદડિયાના ટેકેદારો કહી રહ્યા હતા. મંત્રીમંડળના શપથ વખતે સ્ટેજની સામે બેઠેલા રાદડિયાએ પરાણે ચહેરો હસ્તો રાખીને પાર્ટીનો આદેશ શિરોમાન્ય હોવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. મંત્રીપદ નહીં મળતાં પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવી પાર્ટી તેમની તાકાતનો ઉપયોગ કરશે તેવી વાતો બાદમાં શરૂ થઇ હતી. જયેશ રાદડિયાને તો પાર્ટીએ કોઇ હોદ્દો ન આપ્યો, પરંતુ તેના કટ્ટર રાજકીય હરીફ મનાતા જેતપુરના પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવી ભાજપે જયેશ રાદડિયાને મોટો ઝટકો આપ્યાનું રાજકીય પંડિતો માની રહ્યા છે અને આ ઝટકાની અસર આગામી મહિનાઓમાં દેખાશે તેવો ગણગણાટ પણ શરૂ થઇ ગયો હતો. રાજકોટમાંથી ડો. બોઘરા, ઉદય કાનગડ, મીરાણી અને અરવિંદ રૈયાણીની બાદબાકી કરી નખાઇપ્રદેશ ભાજપના નવા સંગઠનમાં મહામંત્રી પદ માટે રાજકોટ શહેરમાંથી ડો.ભરત બોઘરાનું નામ સૌથી આગળ ચાલતું હતું. પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલ હતા ત્યારે તેમની ટીમમાં બોઘરા ઉપપ્રમુખ હતા અને તેમનો દબદબો હતો. નવા સંગઠનમાં બોઘરાના અનુભવનો ઉપયોગ થશે તેવું નિશ્ચિત મનાતું હતું, પરંતુ તેમને નવી ટીમમાં સમાવવામાં આવ્યા નથી. નવા મંત્રીમંડળમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડનું નામ છેલ્લે સુધી ચર્ચામાં હતું. મંત્રીપદ ન મળ્યા બાદ કાનગડ પ્રદેશના મહામંત્રી બનશે તેવા દાવા થઇ રહ્યા હતા, પરંતુ તેમને પણ ધારાસભ્ય તરીકે જ લોકોની સેવા કરવાનો પક્ષે આદેશ આપ્યો હોય તેવું લાગે છે. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ પણ મહામંત્રી પદ માટે પોતાનો ઘોડો દોડાવ્યો હતો, પરંતુ તે ઘોડો નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શક્યો નથી. પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કેટલાક મહિનાથી ફરી સક્રિય બન્યા હતા અને પ્રદેશની ટીમમાં કોઇ હોદ્દો લઇ આવશે તેવું તેમના ટેકેદારો કહી રહ્યા હતા, પરંતુ રૈયાણીને પણ સમાવવામાં આવ્યા નથી. શહેર ભાજપ પ્રમુખ, પ્રભારી, 2 નિરીક્ષક તમામ દાવેદારોના નામની યાદી રજૂ કરશેરાજકોટ શહેર પ્રમુખની નિયુક્તિના 10 મહિના વીતી ગયા છે છતાં તેમને નવી ટીમ મળી નથી, પરંતુ હવે ઇંતજારની ઘડી નજીક આવી ગઇ છે અને અઠવાડીયામાં નવી ટીમ જાહેર થઇ જશે. સોમવારે શહેર પ્રમુખ સહિતના ચાર આગેવાન પ્રદેશ અધ્યક્ષ સાથે નવા નામોની ચર્ચા કરશે, ત્યારબાદ નજીકના દિવસોમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે દશ મહિના પહેલાં ડો.માધવ દવેના નામની જાહેરાત થઇ હતી. નવા પ્રમુખની સાથે જ તેમની નવી ટીમની જાહેરાત થઇ જશે તેવી વાતો તત્કાલીન સમયે થઇ હતી, પરંતુ દશ દશ મહિના વીતી ગયા છતાં નવું માળખું રચાયું નથી. એકાદ મહિના પહેલાં પ્રદેશ ભાજપે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી અને શહેર ભાજપના અપેક્ષિતો સાથે બેઠક કરી નવા માળખાના નામોની ચર્ચા કરી હતી અને ત્રણ મહામંત્રી સહિત 22 હોદ્દેદારની યાદી માટે એક હોદ્દા માટે ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અલગ અલગ શહેર જિલ્લાના પ્રમુખો અને પ્રભારીને બોલાવી નવા સંગઠનના નામોની ચર્ચા કરી રહ્યા છે. સોમવારે રાજકોટ શહેરના પ્રમુખ અને પ્રભારીને બોલાવવામાં આવ્યા છે અને નવા સંગઠનના નામની ચર્ચા થશે. શહેર ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના નવા સંગઠનમાં જે નામોની પેનલ તૈયાર કરી છે તે તમામ દાવેદારોની સામાજિક છાપ, તે કઇ જ્ઞાતિના છે, તેની ક્ષમતા સહિતની બાબતોને ધ્યાને રાખી અંતિમ યાદી તૈયાર કરાશે. નવા સંગઠનમાં ભાજપના સાચા અને સક્ષમ કાર્યકરની જ પસંદગી કરાશે તેવા દાવા હાલમાં કરવામાં આવી રહ્યા છે, શહેર પ્રમુખ માધવ દવેની નિયુક્તિના દશ મહિના વીતી ગયા છે. આ ગાળા દરમિયાન પાર્ટીના કાર્યક્રમોમાં તેમણે એકલવીર તરીકેની ભૂમિકા ભજવી છે ત્યારે એક અઠવાડિયામાં હવે તેમને નવી ટીમ મળી જશે. મહાનગરપાલિકાની ચૂંટણી પણ આગામી મહિનાઓમાં યોજાવાની છે ત્યારે તમામ સમીકરણોને ધ્યાને લઇને ટીમ તૈયાર થશે અને નવી ટીમ સામે મનપાની ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક જીત મેળવવાનો પડકાર રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:40 am

હરિભક્ત બની ઠગાઈ કરતો ઠગ ઝડપાયો:ભગવાનને સોનું અર્પણ કરવું છે તેવા બહાના બતાવી 14 સ્વામીનારાયણ મંદિરમાંથી એક કરોડના હારની ઉઠાંતરી

‘હું સુરતથી હરિભકત ગોપાલભાઈ છું, મારી દીકરીને ભાવનગરની સરકારી કોલેજમાં એડમિશન મળી ગયું છે, મેં ભગવાનને 51 ગ્રામ સોનું અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે’. જેથી અમે કાલે સવારે મંદિરે આવીશું, તમે હાર મગાવી રાખજો. તેવું કહી વાસણાના સ્વામિનારાયણ મંદિરમાં આવી રૂ.6.51 લાખનો ચેક આપી બહાર ગાડીમાં બેઠેલી પત્નીને હાર બતાવવાના બહાને બે ગઠિયા હાર લઈ ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે બેમાંથી એક ગઠિયાને ઝડપી લીધો હતો. આ બંનેએ ગુજરાતના 14 સ્વામિનારાયણ મંદિરોને ટાર્ગેટ કરી અંદાજે 1 કરોડના હાર પડાવ્યા હતા. આરોપી શૈલેષે 9 વર્ષમાં પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, ભુજ, મહેસાણા અને વાસણા મળી 14 મંદિરમાં આ જ રીતે સોનાના રૂ.1 કરોડની કિંમતના 14 હારની ઠગાઈ કરી હતી. જ્યારે તેનો સાથી કલ્પેશ ફરાર છે. 9 વર્ષ પહેલાં શૈલેષની હિંમત ખુલીરાજકોટનો વતની શૈલેષ સ્વામિનારાયણ સત્સંગી હોવાથી ટીકો કરીને મંદિરોમાં અવરજવર કરતો હોવાથી ત્યાંના રીત-રિવાજને સારી રીતે જાણતો હતો. સંકલ્પ પૂરો થતા હરિભકતો મંદિરોમાં સોનાના દાગીનાની ભેટ આપતા હોવાની વાત તે સારી રીતે જાણતો હતો. તેથી તેણે 9 વર્ષ પહેલાં પોરબંદરના મંદિરને ટાર્ગેટ કરી હાર પડાવ્યો હતો. જેમાં સફળ થતા તેની હિંમત વધી ગઈ હતી. ગૂગલ પરથી મંદિરોના નામ-સરનામાં, કોઠારી સ્વામીના નામ-નંબર મેળવતો હતો. બધી જગાએ ખોટો ચેક પધરાવી સેટ પડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:37 am

ડૉ.બારોટે ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિત રજૂઆત કરી:સરકારી યુનિ.ની ભરતીમાં અધ્યાપક સહાયકનો અનુભવ માન્ય ગણો

ગુજરાતની બધી યુનિવર્સિટીઓને તેમની યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી માટે યુજીસી રેગ્યુલેશન સમાન રીતે લાગુ પડે છે. આ સંજોગોમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ભરતી વખતે આવેલ અરજીઓ પૈકી અધ્યાપકોનો અનુભવ ક્યો માન્ય રાખવો તે સંદર્ભે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.નિદત બારોટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ફિક્સ પગારમાં અધ્યાપક સહાયક તરીકે જે અધ્યાપકોએ કામ કર્યું છે અને હવે યુનિવર્સિટીઓમાં એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસર માટે અરજી કરે ત્યારે તેમણે અધ્યાપક સહાયક તરીકે કરેલા કામનો અનુભવ ધ્યાનમાં લેવાનો છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 16/02/2024 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અગાઉ આ બાબતની જાણ કરેલી છે. આમ છતાં આ બાબતનો યોગ્ય પ્રતિભાવ નવી ભરતીમાં મળી રહ્યો નથી. જ્યારે જુદી જુદી યુનિવર્સિટીઓમાં આ બાબતની જાણ ન હોય તેવું પણ બને. જેથી તા.23/02/2024ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આઉટવર્ડ નંબર 545થી જે પત્ર કરવામાં આવ્યો છે તે બાબતની જરૂરી સ્પષ્ટતા કરતી વિગત ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓને મોકલી આપવાની જરૂરિયાત છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:34 am

કેરાલાના રાજ્યપાલ દ્વારા આહ્વાન:‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવું છે

રાજકોટ | પ્રાંસલા મુકામે તા.4 જાન્યુઆરી સુધી યોજાનાર 26મી રાષ્ટ્રકથા શિબિરનો વૈદિક યજ્ઞથી શુભારંભ થયો હતો. જેમાં કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યના વન-પર્યાવરણ-ક્લાઇમેટ ચેન્જ અને સાયન્સ-ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આસામ રાઇફલના ડીજી લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરા સહિતના અગ્રણીઓ સામેલ થયા હતા. સ્વામી ધર્મબંધુજીએ કહ્યું હતું કે, ‘પ્રત્યેક સૈનિક એ યુનિફોર્મમાં સજ્જ નાગરિક છે અને પ્રત્યેક નાગરિક એ યુનિફોર્મ વિનાનો સૈનિક છે.’ બાહ્મ સુરક્ષા જેટલી જ આંતરિક સતર્કતા અને સંયમની આવશ્યકતા છે. જ્યારે કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પુનએ પોતાના વક્તવ્યમાં ‘સોને કી ચીડિયા’ નહીં, સંપત્તિવાનની સાથે સશક્ત ‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. આસામ રાઇફલના ડીજી લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરાએ કહ્યું કે, જ્યારે માની શિખામણ ભૂલી જઇએ છીએ ત્યાંથી ખરાબ કૃત્યોનો આરંભ થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:31 am

રાજકોટ બન્યું સાક્ષાત સાળંગપુરધામ:યુવા કથાની પોથીયાત્રા, 31st નહીં, બજરંગબલી ફર્સ્ટ

રંગીલા રાજકોટના આંગણે આસ્થા અને યુવા શક્તિનો અદભુત સંગમ રચાયો છે. શહેરના હૃદય સમાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં સાળંગપુરધામ કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં ‘હનુમાન ચાલીસા યુવા કથા’નો ભવ્ય પ્રારંભ થયો છે. 2 જાન્યુઆરી સુધી ચાલનારો આ મહોત્સવ માત્ર એક કથા નથી, પરંતુ રાજકોટવાસીઓની અતૂટ ભક્તિનું પ્રતીક બની રહ્યો છે. કથાના પ્રારંભ પૂર્વે શનિવારે બપોરે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી એક ઐતિહાસિક પોથીયાત્રા નીકળી હતી. આ યાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કારોનો કાફલો, નાસિક ઢોલના ગુંજારવ અને બુલેટસવારોએ રાજકોટના માર્ગો પર કેસરિયો માહોલ સર્જ્યો હતો. ખાસ કરીને અઘોરી નૃત્ય અને બાહુબલી હનુમાનના પાત્રોએ લોકોના દિલ જીતી લીધા હતા. આ કથામાં પશ્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ આપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. 31મી ડિસેમ્બરની રાત્રે યુવાનો ક્લબ કે પાર્ટીઓના બદલે હનુમાનદાદાની આરાધના સાથે નવા વર્ષને વધાવશે. આ દિવસે 151 કિલોની કેક, 108 કિલો પુષ્પવર્ષા અને ભવ્ય અન્નકૂટના દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સેવાનો મહાયજ્ઞ | 5 લાખ પ્રસાદ કિટ અને 3000 સ્વયંસેવક અઘોરી નૃત્ય અને નાસીકની ઢોલ ટીમે આકર્ષણ જમાવ્યુંકથા માટે રેસકોર્સ મેદાનને ખાસ સાળંગપુર થીમ પર સજાવવામાં આવ્યું છે. અહીં 52 ફૂટ ઊંચું સાળંગપુર હનુમાનજીનું ભવ્ય મંદિર પ્રતિકૃતિ સ્વરૂપે ઊભું કરાયું છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશાળ ડોમમાં એકસાથે 50,000થી વધુ ભક્તો બેસી શકે તેવી અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. 7 દિવસ સુધી દરરોજ રાત્રે 7:30થી 11:30 વાગ્યા સુધી હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું ભક્તો રસપાન કરશે. હનુમાન ચાલીસા યુવા કથાના પ્રારંભે નીકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યા હતા. આ યાત્રાનું શહેરના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. યુવાનો સાફા પહેરીને અને બાળકો હનુમાનજીના વેશમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:29 am

મિત્રતાનો ગેરલાભ લઈને ઠગાઈ:બેંક કર્મચારીએ મિત્રના નામે બારોબાર વ્યવહાર કરી નાખ્યા

કોલેજ સમયની મિત્રતાનો ગેરલાભ ઉઠાવી ખાનગી બેંકના કર્મચારીએ તેના મિત્ર અન્ય એક બેંકના કર્મચારીના મહત્ત્વના દસ્તાવેજો મેળવી લઇ પોતાની બેંકમાં ચાર ખાતા ખોલી નાખી લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કરી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. લક્ષ્મીવાડીમાં રહેતા અને ખાનગી બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતાં જયદીપ હરેશભાઇ ચાવડા (ઉ.વ.32)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અન્ય એક ખાનગી બેંકમાં નોકરી કરતાં તેના મિત્ર નિલ પંકજ દફતરીનું નામ આપ્યું હતું. તા.19 સપ્ટેમ્બર 2025ના નિલ જે બેંકમાં નોકરી કરે છે તેના કર્ચારીઓ જયદીપના ઘરે ગયા હતા અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું કહ્યું હતું. જોકે પોતાનું કોઇ એકાઉન્ટ તે બેંકમાં નહીં હોવાનું જયદીપે કહેતા કર્મચારીઓે તેને બીજા દિવસે બેંકે બોલાવ્યા હતા. જયદીપ ચાવડા બેંકે ગયા ત્યારે ત્યાં નિલ દફતરી પણ હાજર હતો અને તપાસ કરતાં જયદીપના પોલિસી વખતના ડોક્યુમેન્ટનો ગેરલાભ ઉઠાવી નિલે જયદીપના નામના એકાઉન્ટ ખોલી ઠગાઇ આચરી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:26 am

ફ્લાઇંગ સ્કવોડે રૂ.70 લાખની કિંમતના બે હિટાચી કબજે કર્યા:સાતડાની સીમમાં બ્લેકટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન થતું હતું

રાજકોટ જિલ્લામાં સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીની કચેરી મૂર્છિત બની ગઈ હોય તેવી સ્થિતિમાં ખનીજચોરી કરતા તત્ત્વો બેફામ અને બેખૌફ બની રેતી, કપચીનું ગેરકાદેસર ખનન અને પરિવહન કરી રહ્યા છે ત્યારે ચાલુ મહિનામાં ઉપલેટા પંથકમાં રેતીનું ખનન ઝડપી લીધા બાદ રાજકોટ તાલુકાના રામપર બેટી નજીક સાતડા ગામેથી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સ્થાનિક ખાણ ખનીજ વિભાગને ઊંઘતું ઝડપી લઇ બ્લેકટ્રેપ એટલે કે, કપચીનું મોટા પ્રમાણમાં ખનન ઝડપી લઈ અંદાજે રૂ.70 લાખની કિંમતના બે હિટાચી મશીન કબજે કર્યા હતા. રાજકોટ તાલુકાના રામપર બેટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં બેલ્કટ્રેપની લીઝ આવેલી છે ત્યારે રામપર બેટી અને સાતડા ગામે કેટલાક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામકને મળતા ફ્લાઈંગ સ્ક્વોડ ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી. જે દરમિયાન સાતડા ગામે નદી પટ વિસ્તારની બાજુમાં બે હ્યુન્ડાઈ કંપનીના એક્સકેવેટર (હિટાચી) મશીન દ્વારા બ્લેકટ્રેપ ખનીજનું ખનન ચાલુ હોવાનું જોવા મળતા બ્લેકટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવામાં આવેલ બન્ને હિટાચી મશીન કિંમત રૂપિયા 70 લાખનો મુદ્દામાલ કસ્ટડીમાં લેવાયો હતો. ભાદરકાંઠો અને અમદાવાદ હાઇવે ખનીજચોરી માટે કુખ્યાતરાજકોટ જિલ્લામાં હાલમાં અમદાવાદ હાઇવે પરથી મોટા પ્રમાણમાં રેતી તેમજ બ્લેકટ્રેપનું ગેરકાયદેસર પરિવહન થઇ રહ્યું હોવાનું જગજાહેર છે. અગાઉ સ્થાનિક ખાણ ખનીજ વિભાગ દ્વારા અમદાવાદ હાઇવે, બેડી ચોકડી તેમજ ઉપલેટા પંથકમાં ભાદર નદીમાંથી થતી રેતીની ખનીજચોરી અટકાવવા સતત ટીમોને દોડતી રાખવામાં આવતી હતી. જોકે છેલ્લા છ મહિનાથી સ્થાનિક ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય બની ગયો હોય ખનીજચોરોને મોકળું મેદાન મળ્યું છે. ખાસ કરીને મોડીરાત્રિના સમયે મોરબી હાઇવે, અમદાવાદ હાઇવે અને ઉપલેટા પંથકમાંથી ગેરકાયદેસર ખનીજનું વ્યાપક પ્રમાણમાં પરિવહન થતું હોવા છતાં પણ સ્થાનિક તંત્ર ખનીજચોરી અટકાવવા પ્રયત્નશીલ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સ્થળનું મેજરમેન્ટ બાદ આકરો દંડ ફટકારવામાં આવશેરાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે પોલીસ ટીમને સાથે રાખી સાતડા ગામની નદી નજીક બ્લેકટ્રેપનું ગેરકાયદેસર ખનન ઝડપી લેવા પ્રકરણમાં બનાવ સ્થળે હાજર ધર્મેન્દ્રભાઈ મનુભાઈ ધાંધલની પૂછતાછ કરતા આ વ્યક્તિએ હિટાચી મશીન પોતાના હોવાનું કબૂલી ખનન થયેલ વિસ્તારનો કબજો ભોગવટો તથા થયેલ ખનન ગેરકાયદેસર હોવાનું સ્વીકાર્યું હતું.જેથી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા દરોડા સ્થળનું મેજરમેન્ટ કરી કેટલી ખનીજચોરી કરવામાં આવી છે તે સહિતની કાર્યવાહી બાદ આકરો દંડ ફટકારવાના સંકેત આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:25 am

યાત્રીઓ આપે ધ્યાન:ઓટોમેટિક સિગ્નલિંગને લીધે વંદે ભારત સહિત 6 ટ્રેન મોડી પહોંચી

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા-આંબલી રોડ-ગોરાઘુમા-સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાના કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેન પ્રભાવિત રહેશે. જેમાં એક ટ્રેન સંપૂર્ણ અને ત્રણ ટ્રેન આંશિક રદ, બે ટ્રેનના રૂટ બદલવા પડ્યા છે. આંશિક રીતે રદ ટ્રેન | ગાંધીનગર -વેરાવળ ઇન્ટરસિટી આંશિક રદ તા.28 અને 29 ડિસેમ્બરની ટ્રેન નં.19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રદ રહેશે. તા.28 ડિસેમ્બરની ટ્રેન 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રદ રહેશે. પરિવર્તિત રૂટની ટ્રેન | વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલવો પડ્યો

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:24 am

સન્ડે ફોટો ઇન્વેસ્ટિગેશન:જંગલેશ્વરમાં 1300 મિલકતના મેગા ડિમોલિશન પૂર્વે કાલથી સુનાવણી | સમગ્ર પ્રકરણે રાજકીયરૂપ ધારણ કર્યું

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસમાં સૌથી મોટા કહી શકાય તેવા મેગા ડિમોલિશનની તૈયારીના ભાગરૂપે જિલ્લા ક્લેક્ટર તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી લેનાર 1300થી વધુ આસામીને નોટિસ ફટકારી છે અને આવતીકાલે તા.29ને સોમવારથી સતત ત્રણ દિવસ સુનાવણી યોજનાર છે ત્યારે હાલ તો મેગા ડિમોલિશને રાજકીય રૂપ ધારણ કરી લીધું છે. કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવ્યા બાદ જ ડિમોલિશન શરૂ કરવા માગણી કરી કાનૂની જંગ માટે પણ તૈયારી શરૂ કરી છે. રાજકોટ સિટી પૂર્વ મામલતદાર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત જિલ્લા સમાહર્તાને ફાળવવામાં આવેલ જમીન પર દબાણ મામલે એકસાથે 1300થી વધુ દબાણકર્તાને નોટિસ ફટકારતા હાલમાં રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં ડિમોલિશનનો મુદ્દો હોટ ટોપિક બન્યો છે. ડિમોલિશન મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ મેદાને આવતા સમગ્ર મામલાએ હાલતો રાજકીય રંગ પકડ્યો છે. તેવામાં આવતીકાલે તા.29 તેમજ તા.30 અને 31 એમ ત્રણ દિવસમાં તમામ દબાણકર્તાઓને પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવ્યો છે ત્યારે સુનાવણી બાદ હવે શું થાય છે તે જોવું રહ્યું. દબાણની દાસ્તાનજંગલેશ્વરમાં થયેલા દબાણ મુદ્દે આગામી દિવસોમાં વધુ વિવાદ થવાના છે ત્યારે સરકારી તંત્રનો વાંક શું છે ?, ભૂમાફિયાઓ કેવી રીતે ફાવ્યા ? તેનું અહીંયા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વાંક કોનો છે તે અંગે ચર્ચા થાય તો કેટલાક નેતાના નામ પણ બહાર આવે. RMCએ દબાણયુક્ત જમીન કલેક્ટર તંત્રને ધાબડી દીધી’તીમહાનગરપાલિકાએ ટીપી સ્કીમ નંબર-6ની અલગ અલગ ફાઇનલ પ્લોટની કુલ મળી 1.92 લાખ ચોરસમીટર જમીન જિલ્લા સમાહર્તા એટલે કે, જિલ્લા કલેક્ટરને ફાળવ્યા બાદ અહીં ટીપીનો રોડ, બ્રિજ તેમજ રિવરફ્રન્ટ માટે જમીનની જરૂરત હોય દબાણ હટાવવા માટે તજવીજ શરૂ થઇ છે ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે. વર્ષ 1986માં ટીપી સ્કીમ નંબર 6 ફાઇનલ થવા સમયે જિલ્લા સમાહર્તાને આરએમસીએ દબાણયુક્ત જ જમીન ફાળવી હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ ટીપી સ્કીમ અમલમાં આવે ત્યારે સરકાર કે ખનગી પાર્ટીને જમીન ફાળવણી થાય ત્યારે પંચરોજકામ કરી કબજા સોંપવાના હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં રાજકોટ, મવડી, નાનામવા, રૈયા, કોઠારિયા સહિતની મોટાભાગની ટીપી સ્કીમ જ્યારે ફાઇનલ થતી હોય છે ત્યારે આરએમસીના સત્તાધીશો મહેસૂલી તંત્ર એટલે કે કલેક્ટર તંત્રને અંધારામાં રાખી કાગળ ઉપર ફાઇનલ પ્લોટ ફાળવી દેતી હોવાનું અને આવી ફાઇનલ પ્લોટની મોટાભાગની જમીનો વોંકળા, નાળા તેમજ દબાણવાળી જમીન જ ધાબડી દઈ બળતું ઘર કૃષ્ણાર્પણ ઉક્તિ મુજબ કાર્યવાહી કરી રહ્યું છે. ટીપી સ્કીમ નંબર-6માં પણ આવી જ સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. 39 વર્ષ સુધી દબાણો થતા રહ્યા અને તંત્રએ માત્ર તમાશો જોયોરાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 6ના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159ની અંદાજે 1,92,000 ચોરસમીટરથી વધુ જમીન ટીપી ફાઇનલ થયા સમયે જિલ્લા સમાહર્તા એટલે કે, જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવ્યા બાદ 1986થી આ જમીન પર ખડકાયેલા વર્ષો જૂના દબાણો હટાવવા અચાનક જ સિટી પૂર્વ મામલતદાર દ્વારા 1300થી વધુ અસામીને નોટિસ ફટકારતા સો મણનો સવાલ ઊઠે છે કે, આવું શા માટે થાય છે. અંદાજે 39 વર્ષથી અહીં એક બાદ એક દબાણો ઊભા થતા ગયા ત્યારે આરએમસી કે ક્લેક્ટર તંત્રએ દબાણ અટકાવવા કેમ પ્રયાસ ન કર્યો ? આવા દબાણોને મનપાએ પાણીના કનેક્શન ક્યાં આધારે આપ્યા ? શા માટે આટલા વર્ષો સુધી તમાસો નિહાળ્યા બાદ અચાનક જ દબાણ હટાવવા પેરવી કરી નોટિસ ફટકારી સાથે કાનૂની ગૂંચવણ ઊભી ન થાય તે માટે કેવિએટ પણ દાખલ કરી, જોકે સળગતો સવાલ તો એ છે કે, તંત્ર આટલા વર્ષ કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયા બાદ હવે અચાનક જ રિવરફ્રન્ટ અને બ્રિજના નામે ખૂબ જ ટૂંકા ગાળાની નોટિસમાં ડિમોલિશનની તૈયારી કરતા દબાણ હટાવવાનો મુદ્દો તંત્ર માટે પડકારરૂપ બન્યો છે. આજી નદીના કાંઠે ખડકાયેલા દબાણો મામલે મનપાએ અગાઉ જ 938 આસામીને ફટકારી છે દબાણ હટાવવા નોટિસ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે અંદાજે 50 વર્ષ પહેલાંના સમયથી દબાણ ખડકાઈ જતા રિવરફ્રન્ટ સહિતની યોજનામાં અંતરાયો ઊભા થયા છે. બીજી તરફ આજી નદીના કાંઠે જ દબાણ ઊભા થતા દર વર્ષે ચોમાસા દરમિયાન શાળા નંબર 70ની આસપાસનો વિસ્તાર જળમગ્ન થતો હોવાથી આરએમસીને દર વર્ષે રેસ્ક્યૂ કામગીરી કરવી પડે છે ત્યારે હવે વર્ષો જૂના દબાણ હટાવવા મામલે કોર્પોરેશન અને કલેક્ટર તંત્રએ હાથ મિલાવ્યા હોય તેવા ઘાટ વચ્ચે ગત ઓક્ટોબર માસમાં મહાનગરપાલિકાએ 938 આસામીને નોટિસ ફટકાર્યા બાદ હવે આ દબાણોને લાગુ જિલ્લા કલેક્ટર તંત્રને ફાળવવામાં આવેલ ટીપી સ્કીમ નંબર-6ની 1.92 લાખ ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવા 1300થી વધુ આસામીને નોટિસ ફટકારવામાં આવતા સરકારી જમીન પર દબાણ ઊભા કરી લેનાર કુલ મળી 2200થી વધુ દબાણકારના દબાણ પર આરએમસી અને મહેસૂલી તંત્રના બુલડોઝર એકસાથે ચલાવવા તૈયારી કરી લેવામાં આવી હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:21 am

અમારી લડાઈ ટ્રસ્ટ સામે:વિરાણી સ્કૂલનું મેદાન બચાવવા કમિટી બની

રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલને ફાળવવામાં આવેલ કરોડોની કિંમતી જમીન વર્તમાન ટ્રસ્ટીઓ વેચી મારવાની પેરવી કરી હાલમાં શાળાના બાળકોને રમવા માટેના મેદાનને ભાડે આપી દેવામાં આવતા વિરાણી હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ છાત્ર દ્વારા છેલ્લા છ વર્ષથી લડત આપવામાં આવતા હાલમાં હાઇકોર્ટે સ્ટેટસ્ક્વો આપ્યો છે. જોકે તેમ છતાં હાલમાં વિરાણી સ્કૂલના મેદાનને ભાડે આપી શરતભંગ કર્યો હોય હવે વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો આંદોલન છેડવામાં આવ્યું છે. શનિવારે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ હોલ ખાતે મહાસંમેલન યોજી લડત માટે સમિતિની પણ રચના કરવામાં આવી હતી.જેમાં જાહેર કરાયું હતું કે, અમારી લડાઈ સરકાર કે તંત્ર સામે નહીં માત્ર ટ્રસ્ટ સામે જ છે. રાજકોટ શહેરની અસ્મિતા સમાન વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયની મેદાનની જમીન વર્ષ 2019માં વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા વેચી નાખવા પેરવી કરતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.પુરુષોત્તમ પીપરિયા દ્વારા કાનૂની લડત આપવામાં આવતા આ લડતમાં જિલ્લા કલેક્ટર તંત્ર પણ પક્ષકાર બન્યું હતું અને બાદમાં ટ્રસ્ટની જમીનના સત્તાપ્રકારમાં થયેલ ફેરફાર ફરી મૂળ રૂપમાં લાવવવા આવ્યા છે. જોકે આમ છતાં અહીં લાંબા સમયથી ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને રમવા માટેના મેદાનમાં બોક્સ ક્રિકેટ, રાત્રિ બજાર જેવી વાણિજ્ય પ્રવૃત્તિ ચાલુ રહેતા ડો.પુરુષોત્તમ પીપરિયા વિરાણી મેદાન બચાવો સમિતિ બનાવી શનિવારે રાષ્ટ્રીય શાળા ખાતે મહાસંમેલન યોજતા આ લડતમાં પૂર્વ વિદ્યાર્થી એવા પૂર્વ કલેક્ટર કે.બી.ઉપાધ્યાય, કેળવણીકાર જતિન ભરાડ સહિતના અનેક પૂર્વ છાત્રો સહિત 150 જેટલા લોકો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:12 am

મહાપાલિકા પ્રશાસનએ આપી માહિતી:મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ નથી:

વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે વધુ 190 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. ગીચ લોકવસતિ હોવા છતાં મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ ન હોવાની માહિતી મહાપાલિકા પ્રશાસને આપી હતી. મતદાનની ટકાવારી વધારવાના ઉદ્દેશથી ખાનગી સોસાયટીઓમાં વધુ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. શહેરમાં લગભગ 700 ખાનગી સોસાયટીઓમાં નાગરિકોને ઘર નજીક મતદાન કેન્દ્ર સ્થાપવામાં આવશે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી 15 જાન્યુઆરીના થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં લેતા પ્રશાસને તૈયારીઓ ઝડપી બનાવી છે. મતદારો મતદાન કેન્દ્ર સુધી સહેલાઈથી પહોંચી શકે એ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મતદારો માટે મતદાન કેન્દ્ર વધુ નજીક હોય એ માટે વિધાનસભા ચૂંટણીની સરખામણીએ વધુ 190 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. 2024માં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન મુંબઈમાં કુલ 10 હજાર 110 મતદાન કેન્દ્ર હતા. આગામી મહાપાલિકા ચૂંટણી માટે આ સંખ્યા વધારીને લગભગ 10 હજાર 300 કરવામાં આવી છે. આમ 190 મતદાન કેન્દ્રોનો ઉમેરો થશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત અશ્વિની જોશીએ આપી છે. મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ નથી. કેટલાક મતદાન કેન્દ્ર સંવેદનશીલ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યા છે. જે ઠેકાણે 10 કરતા વધુ મતદાન બૂથ છે ત્યાં મતદારોની સંખ્યા વધુ હોવાથી ગિરદી થવાની શક્યતા હોય છે. તેથી આવા ઠેકાણાનો સંવેદનશીલની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યાનું જોશીએ સ્પષ્ટ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:02 am

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ પર કઠોર કાર્યવાહી કરાશે:નવા વર્ષ નિમિત્તે એફડીએની વિશેષ ઝુંબેશ, હોટેલ, રેસ્ટોરંટ્સની તપાસ

સરતા વર્ષને વિદાય અને નવા વર્ષનું સ્વાગત કરવા મુંબઈ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એ ધ્યાનમાં લેતા નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે એ માટે અન્ન અને ઔષધ પ્રશાસને કમર કસી છે. રાજ્યની હોટેલ્સ, રેસ્ટોરંટ્સ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા આસ્થાપનાઓની પ્રશાસન તરફથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એના લીધે નવા વર્ષ નિમિત્તે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ પર અંકુશ આવશે. નવા વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ પાર્ટીઓ અને કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થો પીરસાય છે. ખાદ્યપદાર્થોની માગમાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. તેથી એમાં ભેળસેળ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. તેમ જ હોટેલ્સ અને રેસ્ટોરંટ્સમાં મુદત પૂરી થયેલ કાચો માલ, ખાદ્ય અને અખાદ્ય રંગનો ઉપયોગ થાય છે. તેથી નાગરિકોને ભેળસેળવાળા ખાદ્યપદાર્થો મળવાની શક્યતા વધારો હોય છે. આ બાબત ધ્યાનમાં લઈને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા વિરુદ્ધ એફડીએએ તપાસ ઝુંબેશ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઝુંબેશ અંતર્ગત અન્ન સુરક્ષા અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રની રેસ્ટોરંટ્સ, હોટેલ્સ, અને ખાદ્ય આસ્થાપનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ તપાસ દરમિયાન મુદત પૂરી થયેલા કાચા માલનો વપરાશ, અન્નપદાર્થોમાં ખાદ્ય અને અખાદ્ય રંગનો ઉપયોગ તેમ જ સ્વચ્છતાના ધોરણનું પાલન થાય છે કે નહીં એની ચુસ્તતાથી તપાસ કરવામાં આવશે. એમાં દોષી જણાયેલા વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત નાગરિકોના આરોગ્યની દષ્ટિએ હોટેલ્સ, રેસ્ટોરંટ્સમાં સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવશે. હોટેલ સ્વચ્છતાનો સંકલ્પએફડીએએ સ્વાગત નવા વર્ષનું, સંકલ્પ હોટેલ સ્વચ્છતાનો નામથી વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે. આ ઉપક્રમ 26 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીના સમયગાળા સુધી રાજ્યમાં અમલમાં રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ સ્વચ્છતા અને અન્નસુરક્ષા રેટિંગનું પાલન કરનાર હોટેલ આસ્થાપનાને પ્રોત્સાહન આપવા જિલ્લા અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ હોટેલ્સને પુરસ્કાર આપવામાં આવશે. પ્રજાસત્તાક દિનનું ઔચિત્ય સાધીને 26 જાન્યુઆરી 2026ના જિલ્લા સ્તરના પુરસ્કાર સંબંધિત જિલ્લાના પાલકમંત્રીના હસ્તે તથા રાજ્ય સ્તરના પુરસ્કાર ઉત્તમ હોટેલ્સનું સન્માન મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:59 am

ખુલ્લેઆમ થાય છે ભેળસેળયુક્ત દૂધનો સપ્લાય:અંધેરી કપાસવાડીમાં દૂધમાં ભેળસેળ કરવાનું મોટું કૌભાંડ

અંધેરી પશ્ચિમમાં કપાસવાડીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાની ગંભીર બાબત સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે, અહીં ખુલ્લેઆમ ભેળસેળયુક્ત દૂધનો સપ્લાય ચાલી રહ્યો છે, જેનાથી જાહેર આરોગ્ય ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટો ખતરો ઊભો થયો છે. સોશિયલ મિડિયા પર વાઈરલ વિડિયોમાં દૂધ ભેળસેળ રેકેટનો પર્દાફાશ થતો હોવાનું દેખાય છે. વિડિયોમાં દૂધનાં પેકેટોથી ભરેલો એક ઓરડો જોવા મળે છે. એક વ્યક્તિ કઠણ પ્લાસ્ટિકનો ડંડો લઈને એક ઘરમાં પ્રવેશ કરે છે, જ્યાં એક પુરુષ અને એક સ્ત્રી હાજર હોવાનું દેખાય છે. વિડિયોમાં માલ બનાવ જેવી વાતચીત સંભળાય છે અને અંતે અગ્નિ પ્રગટાવી ભેળસેળ કરવાની રીત દર્શાવાતી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. નેટિઝન્સનો દાવો છે કે આ રેકેટ દાયકાઓથી સક્રિય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડિટર્જન્ટ પાઉડર, યુરિયા, સાબુનું દ્રાવણ, તેલ અને અન્ય રસાયણો ભેળવી કૃત્રિમ દૂધ તૈયાર કરવામાં આવે છે. એક લિટર મૂળ દૂધમાં પાણી અને રસાયણો ઉમેરીને લગભગ બમણું પ્રમાણ બનાવવામાં આવે છે અને તે ફરીથી નવા પાઉચમાં પેક કરી નજીકના વિસ્તારોમાં વિતરણ થાય છે.આ મામલાએ સ્થાનિક સરકારી તંત્રની દેખરેખ પર પ્રશ્નો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:58 am

વસઈ વિરારની રાજનીતિમાં ઊથલપાથલ:વસઈ -વિરારમાં અજિત પવારની પાર્ટી સ્વબળે લડશે

મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિની અંદર શરૂ થયેલા તણાવને પગલે રાજકારણમાં મોટો ધડાકો થયો હોવાનું ચિત્ર છે. અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપો લગાવતાં આક્રમક ભૂમિકા લીધી છે. વસઈ વિરાર જિલ્લા અધ્યક્ષ રાજારામ મુળીકે કહ્યું કે, ભાજપે અમારી પીઠમાં ખંજર ભોંક્યું છે એવો ખળભળાટ મચાવતો આરોપ કર્યો છે. મહાયુતિની વસઈ– વિરાર મહાપાલિકાની આવનારી ચૂંટણીના પગલે રાજકીય વાતાવરણ તંગ છે. ખાસ કરીને ચૂંટણી જાહેર થયા બાદ મહાયુતિ એકત્ર લડશે એવી ચર્ચા શરૂ હતી. તે અંતર્ગત અનેક બેઠકો યોજાઈ હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે યુતિધર્મ પાળીને ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો. જોકે, વાસ્તવિક જગ્યા વહેંચણીના તબક્કે ભાજપ તરફથી એક પણ બેઠક ન મળતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ભારે અસંતોષ ફેલાયો. મુળીકે કહ્યું કે, જે પક્ષ પોતાના સાથીદારો સાથે પ્રામાણિક નથી, તે મતદારો સાથે પણ ક્યારેય ઈમાનદાર રહી નહીં શકે. યુતિ ફક્ત કાગળ પર રહી ગઈ, અને અમને જાણીબૂજીને દૂર રાખવામાં આવ્યા એવો દાવો તેમણે કર્યો. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસે સ્વબળ પર ચૂંટણી લડવાનો સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો છે, જેના કારણે વસઈ- વિરાર મહાપાલિકાની રાજનીતિમાં ઊથલપાથલ મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:57 am

પાલિકા ચૂંટણી:શૌચાલય ઉપયોગ પ્રમાણપત્ર વગર ઉમેદવારી રદ થશે

મુંબઈ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી 2025–26 માટે રાજ્ય ચૂંટણી પંચે કડક શરતો લાગુ કરતાં ઉમેદવારોને સ્પષ્ટ ચેતવણી આપી છે. હવે ઉમેદવારી પત્ર સાથે શૌચાલય ઉપયોગ પ્રમાણપત્ર અથવા સ્વ-પ્રમાણપત્ર જોડવું ફરજિયાત રહેશે. આ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળતા પર રિટર્નિંગ અધિકારી (આરઓ) ઉમેદવારી પત્રને તત્કાળ અમાન્ય ઠરાવશે. રાજ્ય ચૂંટણી પંચ, મહારાષ્ટ્રએ સ્પષ્ટ કર્યું છે કે, આ નિયમ માત્ર દસ્તાવેજી કાર્યવાહી નથી, પરંતુ સ્વચ્છતા અંગેની જવાબદારી નિશ્ચિત કરવાની કડક વ્યવસ્થા છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનના અનુસંધાને 7 મે 2016ના મહારાષ્ટ્ર અધિનિયમ નં. 19 ઓફ 2016માં સુધારો કરીને શરત ઉમેરવામાં આવી હતી કે જે ઉમેદવાર નિયમિત શૌચાલય ઉપયોગનું પ્રમાણપત્ર રજૂ નહીં કરે, તે ચૂંટણી લડવા અયોગ્ય ગણાશે. આ નિયમ અગાઉ પણ લાગુ થયો હતો અને હવે ફરી કડક અમલમાં મુકાયો છે. ચૂંટણી લડનાર ઉમેદવાર પોતાના ઘરમાં શૌચાલય ધરાવતા હોય કે, ભાડાના મકાનમાં રહેતા હોય બંને સ્થિતિમાં પ્રમાણપત્ર ફરજિયાત છે. જો ઘરમાં શૌચાલય ઉપલબ્ધ ન હોય, તો સામુદાયિક શૌચાલયનો ઉપયોગ થાય છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. કોઈ પણ પ્રકારની છૂટ માન્ય નહીં રહેશે. આ મુદ્દે મુંબઈ મહાપાલિકાના મુખ્યાલય ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે 22 ડિસેમ્બર, 2025ના બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉમેદવારો સામે સહાયક કમિશનર અથવા વોર્ડ અધિકારી કાર્યવાહી કરશે. જોકે, મહાપાલિકા વહીવટી તંત્રે એક વાત સ્પષ્ટ કરી છે, શૌચાલય અથવા વ્યક્તિના ફોટોગ્રાફ લેવાની જરૂર નથી. ઉમેદવારી ફોર્મ ભરવા જતા એક ઉમેદવારના જણાવ્યા અનુસાર ચૂ઼ંટણી કામગીરી કરતા સરકારી અધિકારીઓ નોમિનેશન ફોર્મની સાથે જો શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો તેમના ઘરના શૌચાલયનો જીપીએસ ફોટો જોડવાનો આગ્રહ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો દાવો કેડીએમસીમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતા રાજન ગાલાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:54 am

હિન્દી ભાષી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારાશે:પરપ્રાંતિયોને આકર્ષવા માટે ભાજપની રણનીતિ

મુંબઈ મહાપાલિકા જીતવા માટે ભાજપે ઉત્તર ભારતીયોના દિલ જીતવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ માટે ભાજપે ચૂંટણીના પ્રચારમાં હિન્દી ભાષી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુર, મનોજ તિવારી અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.શાસક મહાયુતિનો બેઠક વહેંચણીનો વિવાદ હવે લગભગ સમાપ્ત થઈ ગયો છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના આ ચૂંટણી સાથે મળીને લડશે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીઓનો સામનો સ્વબળે કરશે. ભાજપ આ ચૂંટણી જીતવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. આ માટે, ભગવા પક્ષ વિવિધ રણનીતિઓ બનાવી રહી છે. આમાં ઉત્તર ભારતીય મતદારોને પાર્ટી તરફ આકર્ષવા માટે પોતાના વિસ્તારોમાંથી સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે આમંત્રિત કરવાની રણનીતિનો પણ સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:53 am

કરુણાંતિકા સર્જાઈ:કોંકણના સમુદ્રમાં પવઈના એક જ પરિવારના 3 ડૂબ્યા

નવું વર્ષ 2025ને વિદાય આપવા અને નાતાલના તહેવારોની ઉજવણી માટે કોંકણમાં પર્યટકોની ભારે ભીડ હાલમાં જોવા મળી રહી છે. રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ આ ઉત્સાહી માહોલ વચ્ચે રત્નાગિરિ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મુંબઈના પવઈના એક પરિવારને કોંકણના પ્રવાસે જવું દુ:ખદ બની ગયું છે. રત્નાગિરિ જિલ્લાના ગુહાગર બીચ પર દરિયામાં નહાવા પડેલા મુંબઈથી આવેલા એક પરિવાર પર દુર્ઘટના આવી પડી. આ દુર્ઘટનામાં એક વ્યકતિના મોતથી પર્યટકોમાં ગમગીનીનો માહોલ છે. પવઈથી ગુહાગર ફરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો દરિયામાં ડૂબ્યા હતા. તેમને પાણીના ઊંડાણનો અંદાજ ન આવતાં આ ઘટના બની હતી, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાના કારણે પત્ની અને 14 વર્ષના પુત્રને બચાવી લેવામાં આવ્યા, પરંતુ 42 વર્ષીય અમોલ મુથ્યાનો જીવ બચી શક્યો નહીં.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:53 am

સિટી એન્કર:મુંબઈના કાલાઘોડા પરિસરની કાયાપલટ કરાશે, સુશોભીકરણ પ્રકલ્પ અંતિમ તબક્કામાં પહોંચ્યો

મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઐતિહાસિક વારસાવાળી ઈમારતોવાળા કાલાઘોડા પરિસરમાં હંમેશા દેશવિદેશના પર્યટકોની અવરજવર રહે છે. તેથી મુંબઈ મહાપાલિકાએ કાલાઘોડા પરિસરમાં સુશોભીકરણ પ્રકલ્પ હાથમાં લીધો છે. ડો.વી.બી. ગાંધી રોડ, રુદરફોર્ડ રોડ અને બી. ભરુચા રોડ પર સુશોભીકરણના કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂરું થયા બાદ આ પરિસર મુંબઈગરા, દેશવિદેશના પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી તથા ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને મહારાષ્ટ્ર રાજ્ય નાણા પંચના અધ્યક્ષ નિતીન કરીરે કામનું નિરીક્ષણ કરીને કયાસ કાઢ્યો હતો. દક્ષિણ મુંબઈનો ઐતિહાસિક વારસો અને પુરાતન સ્થાપત્યોવાળા પરિસર તરીકે કાલાઘોડા પરિસરની ઓળખ છે. નાગરિકો, પર્યટકોની અહીં હંમેશા ગિરદી રહે છે. કાલાઘોડા સાંસ્કૃતિક દષ્ટિએ સમૃદ્ધ અને કલાત્મક દષ્ટિએ જોવા જેવો પરિસર છે. અહીં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઐતિહાસિક વારસાવાળી ઈમારતો છે. દર વર્ષે ભરાતા કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ આ પરિસરની સાંસ્કૃતિક ઓળખ છે. આ પરિસર યુનેસ્કોના વિકટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો એસમ્બલ ઓફ મુંબઈ જેવા વૈશ્વિક વારસા સ્થળની બાજુમાં જ હોવાથી મુંબઈગરા અને પર્યટકો હેરિટેજ વોકનો આનંદ માણી શકે એ ઉદ્દેશથી મુંબઈ મહાપાલિકાએ કાલાઘોડા પરિસરના સાઈબાબા રોડ, રોપ વોક લેન, ડો. વી.બી. ગાંધી રોડ (ફોર્બ્સ સ્ટ્રીટ) અને બી. ભરુચા રોડ એમ પાંચ રસ્તાઓના સુશોભીકરણનો પ્રકલ્પ હાથમાં લીધો છે. એના માટે પહેલા તબક્કામાં કુલ 3 હજાર 443 સ્કવેર મીટર એરિયાનું (કુલ લંબાઈ 500 મીટર) સુશોભીકરણ કરવામાં આવી રહ્યું છે. દરેક પર્યટકની મુંબઈની મુલાકાતમાં જોવા જેવા સ્થળોમાં કાલાઘોડાનું નામ ચોક્કસ હોય છે. આ સુંદર પરિસરમાં સ્વાદિષ્ટ અને અવનવા ખાદ્યપદાર્થોની વિવિધ રેસ્ટોરંટ્સ, ભોજનાલય, હોટેલ્સ, ઘરેણા અને કપડાના કાર્યાલય છે. આ પરિસરમાં આંટો મારતા ખરીદી કરતા, સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ લેતા પર્યટકોને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવા મહાપાલિકાએ સુશોભીકરણનું કામ હાથમાં લીધું છે. પરિસરમાં ભારે વાહનો પર બંધી મૂકવામાં આવશે. આ પરિસરની ચારેકોર અદ્યતન બેરિકેડ્સ ઊભા કરવામાં આવશે. પ્લાઝા તૈયાર થશેબી. ભરુચા રોડ પરના ચોકમાં પ્લાઝા બનાવવામાં આવશે. બ્લેક ગ્રેનાઈટ અને બેસાલ્ટની લાદીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્લાઝા નજીક ટેબલ-ખુરસી પર બેસીને મુંબઈગરા, પર્યટકો આ પરિસરનો, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશે. તેમ જ સંપૂર્ણ પરિસરમાં પર્યટકોને આનંદ આપતી વળાંકવાળી પગદંડી પણ તૈયાર કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:52 am

થર્ટીફર્સ્ટની પાર્ટીઓની તૈયારી વચ્ચે ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી:બેન્ગલુરુમાં પાર્ટી ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરીઓ મહારાષ્ટ્ર પોલીસે ઝડપી

થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં ઘણાં ઠેકાણે ડ્રગ્સ પાર્ટીઓ ચાલે છે, જેથી ડ્રગ્સની તસ્કરી વધી છે ત્યારે પોલીસે પણ આવી પાર્ટીઓનો પર્દાફાશ કરવા માટે કમર કસી છે. આ કડીમાં મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલના ટાસ્ક ફોર્સે બેન્ગલુરુમાં ત્રણ ડ્રગ્સ ફેક્ટરીઓ પકડી પાડી છે, જ્યાંથી એમડી ડ્રગ્સ (મેફેડ્રોન અથવા પાર્ટી ડ્રગ્સ તરીકે પણ ઓળખાય છે) સહિત રૂ. 55.88 કરોડનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. 21 ડિસેમ્બરે નવી મુંબઈમાં વાશી ગામમાં પુણે મુંબઈ હાઈવે નજીક જૂના બસ ડેપો ખાતેથી ટાસ્ક ફોર્સે ડ્રગ્સ તસ્કર અબ્દુલ કાદર રશીદ શેખને રૂ. 1.48 કરોડના પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. શેખની ઊલટતપાસ લેતાં તેની માહિતી પરથી બેલગામમાં પાર્ટી ડ્રગ્સ બનાવતા પ્રશાંત યલપ્પા પાટીલની ધરપકડ કરવામાં આવી હતી, પ્રશાંતની ઊલટતપાસ લેવાતાં તેણે બેન્ગલુરુમાં ત્રણ ફેક્ટરીઓમાં મોટે પાયે ડ્રગ્સ બનાવવામાં આવે છે એવી માહિતી આપી હતી. આ પછી પોલીસે બેન્ગલુરુમાં દરોડા પાડીને રાજસ્થાનમાં રહેતા પરંતુ બેન્ગલુરુમાં ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા સરજ રમેશ યાદવ અને મલખાન રામલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી. આ બંનેની માહિતી પરથી બેન્ગલુરુ શહેરમાં સ્પંદના લેઆઉટ કોલોની, એનજી ગોલાહલી વિસ્તારમાં આર જે ઈવેન્ટ નામે ફેક્ટરી અને યેરપનાહળી કન્નુર ખાતે લોકવસતિમાં આરસીસી ઘરમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરીનું ઠેકાણું બતાવ્યું હતું. આ સ્થળો ખાતેથી ત્રણ ફેક્ટરીઓ પર દરોડા પાડીને 4 કિલો એમડી, દ્રવ્ય સ્વરૂપમાં 17 કિલો એમડી એમ 21.400 કિલો એમડી, તે તૈયાર કરવાની સામગ્રી અને વિવિધ રસાયણો મળીને રૂ. 55.88 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ત્રણેય ફેક્ટરીઓ નષ્ટ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર 15 કરોડના ડ્રગ્સ સાથે સુરતી સહિત 2 તસ્કર પકડાયા થર્ટીફર્સ્ટની પાર્ટીઓની મુંબઈ સહિતનાં શહેરોમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે અલગ અલગ કેસમાં કસ્ટમ્સ દ્વારા બે પ્રવાસીની રૂ. 15 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. આરોપીમાં 69- સુભાષ નગર-1, લલિતા ચોક, કતારગામ, સુરત શહેરના હિતેશ કાનજીભાઈ માલવિયા (35) અને નિકિતા પેલેસ, ફ્લેટ-201, હિલ એરિયા, સેકશન-17, ઉલ્હાસનગર-3 ખાતે રહેતા દીપક અનિલ મહેતા (32)ની ધરપકડ કરી છે. કસ્ટમ્સ વતી પબ્લિક પ્રોસીક્યુટર રઝિયા શેખની દલીલ પર બંને આરોપીઓને સ્થાનિક કોર્ટે કસ્ટમ્સની કસ્ટડી આપવામાં આવી છે. માલવિયા 27 ડિસેમ્બરે પરોઢિયે એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એઆઈ-2338માં બેન્ગકોકથી મુંબઈ આવ્યો હતો. શંકાને આધારે કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા તેને આંતરીને તેની તલાશી લેવામાં આવી હતી.તેની ચેક-ઈન બેગમાં પારદર્શક બેગ્સ મળી આવી હતી, જેમાં 8 ડબલ પેક્ડ પ્લાસ્ટિકમં પેકેટ્સ હતા. તેમાં 7965 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ (ગાંજો તરીકે પણ ઓળખવામાં આવે છે) મળી આવ્યું હતું, જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂ. 7.96 કરોડ થવા જાય છે. આથી આરોપીની એનડીપીએસ ધારા 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.દરમિયાન બીજા કેસમાં 27 ડિસેમ્બરે પરોઢિયે બેન્ગકોકથી મુંબઈમાં ઈન્ડિગો એરલાઈન્સ ફ્લાઈટ નં. 6ઈ1060માં આવેલા દીપક મહેતાની શંકા પરથી તલાશી લેવામાં આવી હતી. તેની પાસે ચેક-ઈન બેગેજ તરીકે એક્સપ્રેસ બ્રાન્ડની ખાખી રંગની ટ્રોલી બેગમાં 10 વેક્યુમ સીલ્ડ પારદર્શક પ્લાસ્ટિકનાં પેકેટ્સ ભરેલાં દેખાયાં હતાં. આ પેકેટ્સ ખોલતાં તેમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો, જેમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. એર ઈન્ટેલિજન્સ યુનિટની કેમ્પ ઓફિસ ખાતે લઈ જઈને એનડીપીએસ પદાર્થોના ફિલ્ડ- ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને તેનું પરીક્ષણ કરતાં ગાંજો/ હાઈડ્રોપોનિક વીડ હોવાનું જણાયું હતું. આ ટીમની વિશેષ કાર્યવાહીએડિશનલ આઈજી સુનીલ રામાનંદ, સ્પેશિયલ આઈજી શારદા રાઉત, ડે. આઈજી પ્રવીણકુમાર પાટીલના માર્ગદર્શનમાં એસપી એમ એમ મકાનદાર, એડિશનલ એસપી કૃષ્ણાત પિંગળે, રામચંદ્ર મોહિતે, પીઆઈ સંતોષ ગાવશેતે, નિલેશ બોધે, એપીઆઈ ઉદય કાળે, માધવાનંદ ધોત્રે, ઉમેશ ભોસલે, પીએસઆઈ સંજય આદલિંગ, સુહાસ તાવડે અને સ્ટાફ અનિલ પાસ્તે, અશોક આટોળે, મહેશ હવળી, જિતેંદ્ર ચવ્હાણ, યોગીરાજ ઈંગુળકર, અનિલ મોરે, જિતેંદ્ર તુપે, શિવાજી રાવતે, અર્જુન બંદરે, મનીષ ભોઈરે આ કામગીરી પાર પાડી હતી. લોકવસતિ વચ્ચે ડ્રગ્સની ફેક્ટરીપોલીસની નજરથી બચવા માટે કર્ણાટકના બેન્ગલુરુમાં લોકવસતિમાં ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતંફ હતું. ફક્ત ત્રણેય ફેક્ટરીમાં પાર્ટી ડ્રગ્સ બનાવીને દેશનાં અનેક રાજ્યોમાં પહોંચાડવામાં આવતું હતું. ખાસ વાત એ છે કે આ ધીકતો ધંધો કરીને આરોપીઓએ બેન્ગલુરુ શહેરમા મોટે પાયે મિલકતો ખરીદી હોવાનું પણ બહાર આવ્યું છે. હમણાં સુધી ચાર તસ્કરોની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય બે જણની શોધ ચાલી રહી છે, એમ ટાસ્ક ફોર્સના અધિકારીએ શનિવારી જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:51 am

ભાસ્કર ફોલોઅપ:રાપર તાલુકામાં 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ 29 કલાકમાં 22 આફટરશોક અનુભવાયા

રાપર નજીક એકલના રણમાં ગુરુવારે 4:30 વાગ્યાના અરસામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયા બાદ આગામી 29 કલાકમાં કુલ 22 આફટરશોક અનુભવાતા વાગડ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ ગુરુવારે 16 અને શુક્રવારે 5 નાના-મોટા આંચકા નોંધાયા હતા, જ્યારે એક આંચકો મુખ્ય ભૂકંપ તરીકે નોંધાયો હતો. ગુરુવારે ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર એકલના રણ વિસ્તારમાં નોંધાયું હતું, જે જમીનથી અંદાજે 5 કિલોમીટર ઊંડાણે ઉત્પન્ન થયું હતું. ખાસ કરીને વાગડ વિસ્તારમાં પોચી માટી અને નબળા પથ્થરિયાં સ્તરો હોવાને કારણે કંપનની અસર વધારે અનુભવાઈ હતી. કચ્છમાં દસથી વધુ સક્રિય ફોલ્ટ લાઇનો આવેલી છે. રાપર આસપાસનો વિસ્તાર સાઉથ વાગડ, નોર્થ વાગડ અને કચ્છ મેનલૅન્ડ ફોલ્ટથી પ્રભાવિત હોવાથી અહીં વારંવાર નાના-મોટા ભૂકંપ નોંધાતા રહે છે. આફટરશોક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ તેની સંખ્યા અને તીવ્રતા પર સતત નજર રાખવી જરૂરી છે. નોર્થ વાગડ ફોલ્ટ સક્રિય થતા સતર્ક રહેવાની ચેતવણીકચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના નિષ્ણાંત પ્રોફેસરના ગૌરવ ચોહાણે જણાવ્યું હતું કે ગત 26 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 4:30 વાગ્યે નોર્થ વાગડ ફોલ્ટ લાઈન પર 4.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપ બાદ 27 ડિસેમ્બર સવાર સુધીમાં કુલ ૨૨ જેટલા આફ્ટર શોક્સ નોંધાયા છે. આ નાના આંચકાઓને કારણે જમીનની અંદર સંગ્રહાયેલી ઉર્જા બહાર નીકળી રહી છે, જે કોઈ મોટા ભૂકંપની શક્યતાને ટાળી શકે છે. જો કે, આ વર્ષના અંતમાં નોર્થ વાગડ ફોલ્ટની સાથે ક્થ્રોલ હિલ અને ગોરા ડુંગર જેવી અન્ય ફોલ્ટ લાઈનોમાં પણ હિલચાલ જોવા મળી છે, જે દર્શાવે છે કે કચ્છની તમામ મુખ્ય ફોલ્ટ લાઈનો સક્રિય છે, ત્યારે સરકાર અને જનતાને ભૂકંપ સાથે જીવતા શીખવા, મોક ડ્રીલ અને ટ્રેનિંગ દ્વારા સતર્ક રહેવા અપીલ કરી છે. ભૂકંપ અંગે શાળા-કોલેજોમાં માર્ગદર્શન અનિવાર્યશૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન આપવું એ માત્ર જરૂરિયાત નહીં પણ અનિવાર્યતા બની ગઈ છે. નિષ્ણાંતોના મતે, જો નાનપણથી જ બાળકોને ભૂકંપ અંગે માર્ગદર્શન આપવામાં આવે તો તેના અનેક દૂરોગામી ફાયદા થઈ શકે છે. ભૂકંપ એક એવી ઘટના છે જે અચાનક બને છે. જો વિદ્યાર્થીઓને તેના વિશે અગાઉથી વૈજ્ઞાનિક માહિતી હોય, તો તેઓ ગભરાવાને બદલે શાંત રહી શકે છે. શૈક્ષણિક સ્તરે આ વિષયનો સમાવેશ કરવાથી વિદ્યાર્થીઓમાં ‘ભય’ ઓછો થાય છે અને ‘જાગૃતિ’ વધે છે. કટોકટીના સમયે કઈ રીતે બહાર નીકળવું અને કઈ જગ્યાએ આશરો લેવો તેનું પ્રાયોગિક જ્ઞાન હોનારત સમયે જાનહાનિ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. વિદ્યાર્થીઓ શાળામાં મળેલું શિક્ષણ તેઓ પોતાના પરિવાર અને પડોશીઓ સુધી પહોંચાડે છે, જેનાથી આખું ગામ કે શહેર આપત્તિ સામે સજ્જ બને છે. આવનારા મહિનામાં 2001ના વિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે આપણે એ ભૂકંપને એક ચેતવણી અને શિક્ષા તરીકે લેવી જોઈએ અને ભૂકંપ સાથે સલામતીપૂર્વક જીવતા શીખવાની તૈયારીઓ હવે શરૂ કરવી જરૂરી બની ગઈ છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:46 am

ન્યૂ ઈયર પાર્ટીને ધ્યાનમાં રાખતાં આસ્થાપનાઓની તપાસ:હોટેલ, રેસ્ટોરાં, પબ, બારમાં અગ્નિસુરક્ષાની ઐસીતૈસી કરનારી અસ્થાપના પર તંત્રના દરોડા

નવા વર્ષ નિમિત્તે મુંબઈમાં ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવશે. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આના ભાગરૂપે વિભાગ દ્વારા મુંબઈની હોટેલો, રેસ્ટોરાં, પબ, બાર સહિતની સ્થાપનાઓની કડક તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ આસ્થાપનાઓમાં અગ્નિસુરક્ષાના નિયમોનું બરોબર પાલન થઈ રહ્યું છે કે નહીં તે જોવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે પાડેલા દરોડામાં અનેક આસ્થાપનાઓ દ્વારા તેમની સંકુલમાં અગ્નિસુરક્ષા નિયમોની ઐસીતૈસી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. 22થી 25 ડિસેમ્બર વચ્ચે વિભાગ દ્વારા 907 આસ્થાપનાઓ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને આ આસ્થાપનાઓમાં અગ્નિસુરક્ષા નિયમોનું આપૂર્તિ થઈ છે કે નહીં તેની કડક તપાસ કરવામાં આવી હતી. તેમાં નિયમોની ઐસીતૈસી કરનારી 41 આસ્થાપનાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 16 આસ્થાપનાઓને નોટિસ ફટકારવામાં આવી છે. નવા વર્ષનું સ્વાગત કરવા માટે મુંબઈની વિવિધ હોટેલ્સ, પબ, બાર, હાઉસિંગ કોમ્પ્લેક્સ અને ઈમારતો, સમુદ્રકિનારા વગેરે ઠેકાણે વિવિધ કાર્યક્રમ અને સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ માટે નાગરિકો મોટી સંખ્યામાં એકત્ર આવે છે. આ ધ્યાનમાં લેતાં અગ્નિસુરક્ષા બાબતે વધુ સાવધાની લેવા માટે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીના નિર્દેશ અનુસાર એશનલ મહાપાલિકા કમિશનર (શહેર) ડો. અશ્વિની જોશીના માર્ગદર્શનમાં વિશેષ અગ્નિસુરક્ષા ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. અશ્વિની જોશીએ જણાવ્યું કે મહાપાલિકાના મુંબઈ ફાયર બ્રિગેડ તરફથી અમલ કરાયેલી આ ઝુંબેશમાં અનેક આસ્થાપનાઓમાં અગ્નિસુરક્ષાના નિયમો અને શરતોનું પાલન નહીં કરાયું હોવાનું જણાયું છે. તેમની વિરુદ્ધ મહારાષ્ટ્ર આગ પ્રતિબંધક અને જીવ સંરક્ષક ઉપાયયોજના ધારા 2006ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. આ અંતર્ગત 10 મોલ, 25 ફાઈવસ્ટાર હોટેલ, 59 લોજિંગ- બોર્ડિંગ, 19 રૂફટોપ, 147 પબ, બાર, ક્લબ, 12 પાર્ટી હોલ, 5 જિમખાના, 628 રેસ્ટોરાં વગેરે મળીને 907 આસ્થાપનાઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી શરતો અને નિયમોનું ઉલ્લંઘન કરનારી 41 આસ્થાપનાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે 16 આસ્થાપનોને નોટિસ ફટકારવામાં આવી હતી. નિયમિત તપાસ ચાલુ રહેશેદરમિયાન 28 ડિસેમ્બર સુધી આ વિશેષ અગ્નિસુરક્ષા ઝુંબેશ અંતર્ગત વિવિધ આસ્થાપનાઓની તપાસ ચાલુ રહેશે. તે પછી પણ મુંબઈ અગ્નિશમન વિભાગ વતી નિયમિત રીતે કાર્યવાહી કરવામાં આવશે. નવા વર્ષની પાર્શ્વભૂમિમાં વિવિધ આસ્થાપનાઓએ અગ્નિસુરક્ષા બાબતે જરૂરી સર્વ ઉપાયયોજના કરવી. નાગરિકોએ પણ સતર્ક રહેવું, એવો અનુરોધ અશ્વિની જોશીએ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:44 am

સિટી એન્કર:‘સાહેબ હું હજુ છું અને આ રહ્યો મારો પુરાવો’ : મેગા કલેક્શન કેમ્પના પ્રથમ દિવસે રાજકોટના 11731 મતદારે પુરાવા રજૂ કર્યા

ગુજરાત સહિત 12 રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં હાથ ધરવામાં આવેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યવાહી દરમિયાન રાજકોટ જિલ્લામાં નોંધાયેલ કુલ 23.91 લાખ મતદાર પૈકી 2.25 લાખ જેટલા મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારોને અનમેપ કેટેગરીમાં નવી સુધારેલી મતદારયાદીમાં સમાવી લેવામાં આવ્યા બાદ શનિ-રવિ દરમિયાન તમામ મતદાન મથકોએ આવા અનમેપ મતદારોને વધુ એક તક આપી પુરાવા રજૂ કરવા મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવતા જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં એક જ દિવસમાં શનિવારે 11731 મતદારે પોતાના ઓળખના પુરાવા રજૂ કર્યા હતા. રાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત મતદારયાદીની ઘનિષ્ઠ સુધારણા દરમિયાન તા.4 નવેમ્બરથી ઘેર-ઘરે ફોર્મ વિતરણ શરૂ કરી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 23.91 લાખ મતદાર પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવ્યા હતા જેમાં 2.25 જેટલા મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત થાય તેવા વર્ષ 2002ની તુલનાએ પુરાવા રજૂ ન કરી શકતા મેપિંગ નહીં થયેલા આવા તમામ મતદારોના નામ નવી મતદારયાદીમાં અનમેપ યાદીમાં રાખવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચની સૂચના અન્વયે તા.27 અને 28 ડિસેમ્બર અને તા.3 અને 4 જાન્યુઆરી ચાર દિવસ દરમિયાન તમામ મતદાન મથકો ખાતે મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવતા કેમ્પના પ્રથમ દિવસે જ 7945 વાંધા સૂચન રજૂ કર્યા હતા.11731 મતદારે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરતા પુરાવા રજૂ કર્યા હતા. મેગા કલેક્શન કેમ્પમાં પુરાવા રજૂ કરનાર મતદાર

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:42 am

રત્ન કલાકારનું કમકમાટીભર્યું મોત:અડાજણમાં બેફામ દોડતાં પાલિકાના કચરાના ડમ્પરે વેસુના મોપેડ સવાર યુવકને કચડી નાખ્યો

અડાજણ મધુવન સર્કલ પાસે બેફામ આવેલા પાલિકાની કચરાના ડમ્પરે કચડી નાંખતા વેસુના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજા બનાવમાં બરોડા પ્રિસ્ટેજ પાસે ટેમ્પોએ અડફેટે લેતા ઉતરાણના રત્નકલાકારનું મોત થયું હતું. વેસુ સુમન સાગર ખાતે રહેતા 35 વર્ષીય અજીતસિંગ ઉમાશંકર સિંગ એસી રીપેરીંગનું કામકાજ કરતા હતા. શનિવારે રાત્રે તેઓ મોપેડ લઈ અડાજણ મધુવન સર્કલ પાસેથી પસાર થતા હતા. ત્યારે બેફામ આવેલા પાલિકાના કચરાના ટ્રકના ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને મોપેડ પર ડમ્પર ચડાવી દીધુ હતું. ટ્રક નીચે કચડાઈ જતા અજીતસિંહનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના બીજા બનાવમાં ભાવનગરના પાલીતાણાના વતની અને ઉતરાણ સિલ્વરગ્રીન રેસીડેન્સીમાં રહેતા 42 વર્ષીય હસમુખભાઈ છગનભાઈ ઘોરી હીરાની ઓફીસમાં નોકરી કરતા હતા. શુક્રવારે રાત્રે તેઓ નોકરી પરથી ઘરે જવા માટે બાઈક લઈ નીકળ્યા હતા. દરમ્યાન બરોડા પ્રિસ્ટેજ પાસે પુરપાટ ઝડપે પસાર થતા એક ટેમ્પો ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. અડાજણના મધુવન સર્કલ પાસે બેફામ આવેલા પાલિકાના કચરાના ડમ્પરે વેસુના 35 વર્ષીય યુવકને કચડી નાખતા મોત થયું હતુ

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:35 am

ભાસ્કર એનાલિસીસ:ગામડાઓના વિકાસનો નવો અધ્યાય થશે શરૂ, તાલુકા પંચાયતોની મુદ્દત 17 માર્ચના થશે પૂર્ણ

કચ્છ જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પાંચ વર્ષના શાસનની મુદત આગામી 17 માર્ચ 2026 ના પૂર્ણ થઈ રહી છે. લોકશાહીની આ સ્થાનિક સરકારોની ટર્મ પૂરી થવાને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સમગ્ર જિલ્લામાં શિયાળામાં રાજકીય ગરમાવો ધીમે ધીમે તેજ બની રહ્યો છે. મુદત પૂરી થાય તે પૂર્વે તમામ તાલુકા પંચાયતોમાં અંતિમ સામાન્ય સભાઓનું આયોજન કરી વર્ષ 2026-2027 માટેના અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવી રહ્યા છે. આ બજેટમાં ગ્રામીણ વિકાસને કેન્દ્રમાં રાખીને કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણીનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. તાલુકા પંચાયતો દ્વારા પસાર કરવામાં આવેલા આ બજેટને હવે જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે. જિલ્લા પંચાયત સ્તરે આ બજેટનું ઝીણવટભર્યું અવલોકન કર્યા બાદ તેને અંતિમ મંજૂરી આપવામાં આવશે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે તમામ વિકાસકામોને વહીવટી મંજૂરી મળી જાય અને વિકાસની ગતિ અટકે નહીં. આ વખતની સામાન્ય સભાઓમાં રજૂ થયેલા બજેટમાં મુખ્યત્વે ગામડાઓની પાયાની સુવિધાઓ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી, રોડ, ગટર, રોડ લાઈટ, સીસીટીવી કેમેરા લાગવાના કામનો પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓના રીપેરીંગ તેમજ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ વધારવા પર ભાર મુકવામાં આવશે. તેમજ ગટર લાઈન અને સીસી રોડ (પેવર બ્લોક) ની કામગીરી દ્વારા સ્વચ્છતા જાળવવાના પ્રોજેક્ટ્સ. ખાતમુહૂર્તનો ધમધમાટ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2021ના તાલુકા અને જિલ્લા પંચાયતની ગત ચૂંટણી યોજાઈ હતી અને 18 માર્ચ 2021ના પ્રથમ સામાન્ય સભા મળી હતી. હવે જ્યારે 17 માર્ચ 2026ના તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થાય છે, સંભવિત આગામી એકાદ માસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે તેમ છે. આથી, આચારસંહિતા પૂર્વે આગામી એકાદ માસમાં જ મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ધમધમાટ શરૂ થઈ જશે. સત્તાધારી પક્ષ આ અંતિમ તબક્કે મતદારોને રીઝવવા વિકાસના કામોને વહેલી તકે ધબકતા કરવા મથામણ કરી રહ્યા છે. કચ્છની ભૌગોલિક સ્થિતિને જોતા ગ્રામ્ય વિકાસના આ પ્રોજેક્ટ્સ આગામી પાંચ વર્ષ માટે પાયો શાશનધુરાનો નાખશે. હવે સૌની નજર જિલ્લા પંચાયતના બજેટ અવલોકન અને આગામી ચૂંટણીના સમયપત્રક પર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:34 am

ઝુંબેશનું આયોજન:1લી જાન્યુ.એ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે મતદારયાદીમાં નામ નોંધાવવાની તક

ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લામાં તા. 1/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ હેઠળ જે નાગરિકોની ઉંમર 1 જાન્યુઆરી, 2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય, તેઓ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ 27 અને 28 ડીસેમ્બર ૩ અને 4 જાન્યુઆરીના શનિવાર-રવિવારના દિવસે દરેક મતદાન મથક પર સવારથી સાંજ સુધી બુથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. અને નવા મતદારો ત્યાં ફોર્મ 6 ફરીને પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકશે. જયારે ફોર્મ નં. 7 મુસદ્દા મતદારયાદીમાં સમાવિષ્ટ કોઈ નામ સામે વાંધો રજૂ કરવા માટે તેમજ ફોર્મ નં. 8 મતદારયાદીની વિગતોમાં સુધારો કરવા માટે મતદારો પોતાના ફોર્મ ભરી શકશે. આ દરમ્યાન મતદારો મુસદ્દા મતદારયાદીમાં તેમનું નામ છે કે નહીં તેની ખાતરી BLO પાસેથી કરી શકશે. જેમના નામ મુખ્ય યાદીમાં ન હોય, તેઓ ગેરહાજર, સ્થળાંતરિતની યાદીમાં પણ તપાસ કરી શકશે. નાગરિકો રૂબરૂમાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અથવા સીધા મતદાન મથકનો સંપર્ક કરી શકે છે. જે નાગરિકોના નામ મુસદ્દા મતદારયાદીમાં નથી અથવા “NO MAPPING” ના કિસ્સામાં છે, તેઓએ જરૂરી આધાર-પુરાવા સાથે તુરંત સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મહત્વની તારીખો નોંધી લેશો

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:32 am

સિટી એન્કર:કચ્છ ઉત્સવ અંતર્ગત સ્મૃતિવનમાં ‘ગાથા ભુજંગની અને આઈ આવળની વાત’ નામના નાટકનું આજે મંચન

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કચ્છ ઉત્સવના ઉપક્રમે આજે સાંજે સ્મૃતિવન ખાતે મા આશાપુરા એજ્યુકેશન સંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ નાટક ‘ગાથા ભુજંગની અને આઈ આવળની વાત’ ગૌતમ એસ. જોશી લિખિત નાટકનું મંચન કરવામાં આવશે. આ નાટક દ્વારા કચ્છ અને રાજસ્થાન વચ્ચેની ઐતિહાસિક સામ્યતા અને સાંસ્કૃતિક સંબંધોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવશે. નાટકની કથાવસ્તુમાં ભેરવો ગારુડી અને શૈષાપટ્ટણની રાજકુમારી સંગીઈ સંઘાઇની વાર્તા સાથે ભુજંગ નાગની ગાથા, તેમજ સિંધના મામણીયા ચારણની સાત કન્યાઓમાંથી આઈ આવળના ઇતિહાસ અને તેમના ચમત્કારોને સમાવેશ કરવામાં આવ્યો છે. ચારણો આઈ આવળ સાથે સિંધથી રાજસ્થાન અને ત્યાંથી કચ્છ આવે છે તે કથાને મૌલિક કલ્પનાશીલતા સાથે નાટ્યરૂપ આપવામાં આવ્યું છે. નાટકની કથાવસ્તુ પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ શંભુદાન ગઢવી દ્વારા રચાઈ છે, લેખન પૂર્વ પોલીસકર્મી ગૌતમ એસ. જોશીનું છે અને નિર્માણ તથા દિગ્દર્શન પૂર્વ વનકર્મી શૈલેન્દ્ર ચોકસી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રસ્તુતિ સહયોગ પ્રા.મિતાબહેન યાદવ, જ્યારે રજૂઆત મા આશાપુરા બી.એડ. કોલેજ, ભુજની વિદ્યાર્થીનીઓ કરશે. આ 45 મિનિટના નાટકમાં એક જ સ્ટેજ પર એકસાથે લગભગ 40 પાત્રોની અસરકારક રજૂઆત જોવા મળશે. દરેક કલાકાર સંવાદ અને અભિનય સાથે ઉજાગર થતા દર્શકો માટે આ અભિનંદનીય અને યાદગાર અનુભવ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:31 am

છાત્રોને ફાયદો:શહેરની કોમર્સ કોલેજમાં એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન

શહેરની જે.બી.ઠક્કર કોમર્સ કોલેજ ખાતે એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.બી.ઠક્કર કોમર્સ કોલેજના પ્રમુખ એડવોકેટ બાલાબેન ઠક્કર તેમજ ટ્રસ્ટના હોદેદારોના નેતૃત્વ હેઠળ WIRC ઓફ ICAI ના સભ્યો દ્વારા એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું જે પ્રસંગે સભ્યો કેતન સૈયા (ચેરમેન- WIRC ઓફ ICAI) પિયુષ ચાંદક (વાઈસ ચેરમેન), જીનલ સાવલા (સેક્રેટરી), ડૉ.ફેનિલ શાહ (ટ્રેઝરર), ભાર્ગવ શંકરવાલા (ચેરમેન- ભુજ બ્રાંચ), રીકીન પટેલ (રીજીનલ કાઉન્સિલ મેમ્બર) અને કોલેજના પ્રિન્સીપાલ ડૉ.મૌલિક બારોટ હાજર રહ્યા હતા. અકાઉન્ટન્સી મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય વિષયના ઈતિહાસ, વિકાસ, મહત્વપૂર્ણ સિદ્ધાંતો, ચાર્ટર્ડ અકાઉન્ટન્સી વ્યવસાયની યાત્રા તથા આધુનિક અકાઉન્ટિંગ પદ્ધતિઓ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો છે.કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મૌલિક બારોટે જણાવ્યું કે, અકાઉન્ટન્સી મ્યુઝિયમ તથા CA પરીક્ષા કેન્દ્ર બંને વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થશે. ICAI દ્વારા આયોજિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) પરીક્ષાઓ હવે કોમર્સ કોલેજમાં જ યોજવામાં આવનાર છે.જેથી CA અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સુવિધાજનક અને અનુકૂળ કેન્દ્ર ઉપલબ્ધ થશે. કોલેજને CA પરીક્ષા કેન્દ્ર તરીકે માન્યતા મળવી એ સંસ્થાની શૈક્ષણિક વિશ્વસનીયતાનું પ્રતિબિંબ છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:28 am

નોકરી ન્યૂઝ:સ્પોર્ટ્સમાં ઇન્ટર્નશિપ માટે કુલ 452 જગ્યા,20 હજાર સ્ટાઇપેન્ડ

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ હેઠળ દર વર્ષે 452 પેઇડ ઇન્ટર્નશિપની જગ્યા ઉપલબ્ધ કરાશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 20 હજાર સ્ટાઇપેન્ડ અપાશે. જેના માટે સરકાર દ્વારા વાર્ષિક 5.30 કરોડ બજેટ ફાળવાયું છે. આ અંતર્ગત ઇન્ટર્ન્સને ઇવેન્ટ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ સાયન્સ, એન્ટી ડોપિંગ, એથલીટ સ્પોર્ટ્સ અને નીતિ અમલીકરણ જેવા ક્ષેત્રોમાં કામ કરવાની તક મળશે. દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં બે ભરતી ચક્ર આયોજિત કરશે. પસંદગી પ્રક્રિયા ઓનલાઇન પોર્ટલ દ્વારા કરાશે. ઉમેદવારોની પસંદગી ધોરણ 10, 12 અને સ્નાતકના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરીને કરાશે. આ ઇન્ટર્નશિપ દ્વારા રમતગમત ક્ષેત્રે કુશળ વ્યાવસાયિકોની એક મજબૂત શ્રેણી તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:27 am

નર્મદ યુનિ.કેમ્પસ બનશે ડોગ ફ્રી ઝોન:જો કોઇ દૂધ-બિસ્કિટ ખવડાવતા પકડાશે તો સિક્યુરિટી એજન્સીને દંડ ફટકારાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી ગણીને યુનિવર્સિટીએ રખડતા શ્વાનોના ત્રાસ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. કેમ્પસમાં કોઈ શ્વાનને દૂધ કે બિસ્કિટ ખવડાવતા ઝડપાશે, તો તેની સજા રૂપે સિક્યોરિટી એજન્સીએ દંડ ભોગવવો પડશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરના આદેશ બાદ VNSGUએ કેમ્પસમાં ‘નોડલ ઓફિસર’ની નિમણૂક કરી છે. આ અધિકારીનું મુખ્ય કામ સિક્યોરિટી ગાર્ડ્સની કામગીરી પર બાજ નજર રાખવાનું રહેશે. કેમ્પસમાં શ્વાન લટાર મારતા દેખાશે, તો નોડલ ઓફિસરના રિપોર્ટના આધારે સિક્યોરિટી એજન્સીને આકરો દંડ કરાશે. જેનો ઉદ્દેશ્ય કેમ્પસને ‘ડોગ-ફ્રી’ ઝોન બનાવવાનો છે. હોસ્ટેલના મેસ અને કેન્ટીન વિસ્તારમાં શ્વાનનો જમાવડો વધુ જોવા મળે છે.જેનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરાશે. જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ શ્વાનને ખવડાવતા જણાશે તો તેની સામે પણ પગલાં લેવાશે ત મહાનગરપાલિકા અને એનજીઓના સહયોગથી કેમ્પસમાં રહેલા શ્વાનોનું ખસીકરણ અને વેક્સિનેશન થાય તેવું આયોજન પણ વિચારાધીન છે. કોલેજો અને યુનિવર્સિટીઓએ કરવાના 10 મહત્વના કામ શું છે સમગ્ર મામલો?નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને તેના કારણે થતી જાનહાનિ અંગે ગંભીર નોંધ લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન મુજબ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત કોલેજો તેમજ યુનિવર્સિટીઓને કેમ્પસમાં રખડતા કૂતરાના ત્રાસથી વિદ્યાર્થીઓની સુરક્ષાના કડક પગલાં લેવા આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:27 am

ભાસ્કર ઈનસાઈડ:દશરથના શિવ એસ્ટેટના ગોડાઉનમાંથી 32.33 લાખનો દારૂ પકડાયો, 31 ડિસેમ્બરની પાર્ટીઓમાં દારૂ પહોંચાડનારા બૂટલેગરો સામે પોલીસની વોચ

31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ યોજાઈ છે. છાણી પોલીસે દશરથના ગોડાઉનમાંથી ~32.33 લાખની 349 દારૂની પેટી પકડી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. છાણી પોલીસ મથકના પીઆઈ આર.એલ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દશરથ ગામના શિવ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડીને ~32.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 349 પેટીમાં રહેલી 16,752 બોટલ કબજે કરીને પ્રકાશ સીયારામ (રહે. જોધપુર)ને વોન્ટેડ જાહેર કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. શહેરના લિસ્ટેડ અને નોન લિસ્ટેડ બૂટલેગરોની યાદી બનાવી પોલીસ દ્વારા વોચ રખાઈ રહી છે. છાણી સહિત 3 પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા દશરથના આ જ ગોડાઉનને પકડવા માટે ઉજાગરા કરાઈ રહ્યા હતા. એક વાહનની માહિતીના આધારે ગોડાઉન પકડાયું હતું. શિવ એસ્ટેટમાં આવેલું ગોડાઉન ભાગીદારીમાં છે. જેમાં એક મયુર નામના ભાગીદારને રવિવારે પોલીસ મથકમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. દશરથ ગામના ગોડાઉન દારૂ રાખવાનું હોટસ્પોટ, 2.59 કરોડનો દારૂ ઝડપાયો હતોદશરથ ગામ પાસે આવેલા ગોડાઉન દારૂનો જથ્થો રાખવાનું હોટસ્પોટ બન્યું છે. મોટાભાગે રાજસ્થાની બૂટલેગર દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનો સ્ટોક કરતા હોય છે અને ત્યાંથી વડોદરા ઉપરાંત અન્ય શહેરોમાં દારૂનો સપ્લાય પણ કરે છે. 6 મહિના પહેલા જ દશરથ ગામમાં બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન જ એસએમસીની ટીમે રેડ કરીને રૂા.2.59 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આટલી મોટી સંખ્યામાં દારૂ ઝડપાયાનો પહેલો કિસ્સો હતો. ઉલ્લેખનિય છે કે, આ કેસમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે છાણી પીઆઈ એ.પી.ગઢવીને સસ્પેન્ડ કર્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:24 am

સન્ડે ફોટો સ્ટોરી:શહેરના 33 ટકા વિસ્તારને પીવાલાયક પાણી પુરુ પાડતા સરથાણા વોટર વર્ક ્સ સંપૂર્ણ સોલાર રૂફટોપથી સંચાલિત, પાલિકાની વર્ષે 95 લાખની બચત

શહેરના 33 ટકા વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડતા સરથાણા વોટર વર્ક‌્સ પ્લાન્ટ પર લગાવાયેલો 1020 કિલો વોટ ક્ષમતાનો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ પાલિકાને વીજ બિલમાં વર્ષે 95 લાખ રૂપિયાની બચત કરવામાં કારગર નિવડ્યો છે. વર્ષ-2020માં 700 કિલોવોટ અને વર્ષ-2023માં 320 કિલોવોટ એમ બે તબક્કામાં સ્થાપિત કુલ 1020 કિલો વોટના સોલાર પ્લાન્ટના કારણે પાલિકા વીજ ફોલ્ટ સમયે પણ સોલારથી એનર્જી મેળવી વગર વિધ્ને શહેરીજનોને સુવિધા પૂરી પાડી રહી છે. એટલું જ નહીં પણ સોલાર પ્લાન્ટની વ્યવસ્થા બાદ સરથાણા વોટર વર્ક‌્સ પ્લાન્ટમાં દૈનિક 614 MLD પાણીનું શુદ્ધિકરણ કરવાની સાથે આ પાણી વરાછા-સરથાણા, ખટોદરા, અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોનમાં સપ્લાય થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:23 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:મ.સ.યુનિ.ની સંશોધનના તેજસ્વી વિદ્યાર્થીની SHODH યોજનામાં અવદશા, આ વર્ષે માત્ર 27 વિદ્યાર્થીની પસંદગી

ખાનગી-સરકારી યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંશોધન ક્ષમતાને પ્રોત્સાહિત કરવા વર્ષે 4 લાખની મદદ કરતી ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતની SHODH (સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલિટી રિસર્ચ) યોજનામાં આ વર્ષે મ.સ. યુનિ.ના માત્ર 27 વિદ્યાર્થી પસંદ થયા છે. 4 વર્ષમાં યુનિ.માં સંશોધનને પ્રોત્સાહિત કરવાની ગુલબાંગો પોકારાઇ, બીજી તરફ પીએચડીના વિદ્યાર્થીઓ એમએસયુમાં પ્રવેશ ન મેળવે તે માટે કારસો ઘડાતો ગયો. પરિણામ એ આવ્યું છે કે, 2020માં રાજ્યભરમાં સૌથી વધુ 132 વિદ્યાર્થી એમએસયુના હતા, જ્યારે 2 વર્ષથી આ સંખ્યા 27 પર અટકી રહી છે. આ વિશે મ.સ.યુનિવર્સિટીના પ્રાધ્યાપકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, કોમન એક્ટને સમાંતરે યુનિવર્સિટી માટે લેવાયેલા કેટલાક અણઘડ અને આપખુદ નિર્ણયથી એમએસયુની અવદશા થઇ છે. પીએચડી પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાત કરાતાં અને સંશોધન કરાવવા માટેના પ્રાધ્યાપકો ઘટતાં આ ફિયાસ્કો સર્જાયો છે. હવે નવનિયુક્ત વીસી સામે આ પણ એક પડકાર હશે. પ્રાધ્યાપકો ઘટ્યા અને એન્ટ્રન્સ ટેસ્ટ ફરજિયાત કરવા સહિતના નિયમોના શીર્ષાસનને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડોએમએસ યુનિવર્સિટીમાં 2019માં 650 ફુલ ટાઇમ પ્રાધ્યાપકો હતા. છેલ્લાં 6 વર્ષમાં નિવૃત્તિઓ થતાં અને નવા પ્રાધ્યાપકોની પ્રક્રિયા ન કરાતાં સંખ્યા ઘટીને 400થી નીચે છે. એટલે કે પીએચડી કરાવી શકે તેવા પ્રાધ્યાપકોનો ગ્રાફ સડસડાટ ગયો છે. 2021 સુધી પીએચડીના વિદ્યાર્થીઓને વર્ષના કોઇ પણ મહિનામાં સમાવી શકાતા હતા. જોકે પૂર્વ વીસી શ્રીવાસ્તવના સમયમાં નેટ-સેટ પાસ વિદ્યાર્થીઓને પણ એન્ટ્રન્સ ફરજિયાત કરાતાં અને વર્ષમાં પીએચડીની પરીક્ષા એક જ વાર કરાતાં વિદ્યાર્થીઓ એમએસયુથી વિમુખ થતા ગયા. નિયમોમાં શીર્ષાસન થયું અને પ્રાધ્યાપકો ઘટ્યા, જેથી પીએચડી કરનારા વિદ્યાર્થીઓ પણ નોંધપાત્ર રીતે ઓછા થયાં છે. પીએચડીના નિયમો બદલ્યા અને ગાઇડ ઘટતાં વિદ્યાર્થીઓ પર અસરવિદ્યાર્થીઓની સંખ્યાની પડતીનાં 4 મુખ્ય કારણો છે. યુનિવર્સિટીમાંથી 32 પીએચડી વિદ્યાર્થીઓ જ આ માટે રજિસ્ટર થયાં હતાં. કોરોનાની અસરથી વર્ષ 2021-22માં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. જોકે પછીનાં 3 વર્ષ યુનિવર્સિટીએ પીએચડીના નિયમો બદલ્યા, પીએચડી ગાઇડ ઘટ્યા છે. આ ઉપરાંત શોધ વિશેની જાગૃતિ પણ વિદ્યાર્થીઓમાં ઓછી હોઇ શકે. ગોલ્ડ મેડલ બાદ શોધ સિલેક્શનમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહીઆ વર્ષે જે 27 વિદ્યાર્થીઓ પસંદ થયા છે, તેમાંથી 16 વિદ્યાર્થિનીઓ છે. જેમાં 9 તો સાયન્સ ટેક્નોલોજીની છે. જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં એકમાત્ર વિદ્યાર્થિની જ છે. ઉપરાંત હોમ સાયન્સ ફેકલ્ટીની ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશનની બિરિના દાસ અને કમ્યૂનિટી સાયન્સની કેરવી પંડ્યાએ 75-75 માર્ક્સ મેળવીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના 3-3, કેમિસ્ટ્રીના 3 અને ફિઝિક્સના 5 વિદ્યાર્થીઓ છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:23 am

પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ:ફાલસાવાડી સામે SITCOએ પાણીની લાઇન તોડતા 14 લાખ લોકોને અસર

રિંગ રોડ સહારા દરવાજા પાસે ફાલસાવાડી પોલીસ લાઇન પાસે મહાપાલિકાની પાણીની મુખ્ય લાઇનમાં સીટકોની બ્રિજ માટે પાઇલ ખોદવાની કામગીરીમાં બેદરકારીને પગલે 5 મીટર જેટલી જૂની લાઇનમાં ભંગાણ પડતાં મહાપાલિકાનું હાઇડ્રોલિક ખાતુ દોડતું થઈ ગયું હતું. શુક્રવાર સવારથી લઈને શનિવાર સાંજ સુધી 30 કલાકથી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે. સીટકો, મેટ્રો અને હાઇડ્રોલિક ખાતા ત્રણેયની ટીમ મેનપાવર, મશીનરી રિપેરિંગ કામગીરીમાં જોતરાઇ છે. જૂની લાઇન હોય ખોલાતા વધુ લાઇન ડેમેજ થઈ હતી, જેથી પરિસ્થિતિ વધુ બગડી હતી. લાખો લીટર પાણી ફાલસાવાડી રિંગ રોડથી સહારા દરવાજા પર રસ્તા પર વહી જતાં ટ્રાફિક જામની પણ કફોડી સ્થિતિ સર્જાતા અધુરામાં પુરું શહેર ટ્રાફિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ ભંગાણને પગલે વરાછા ઝોન, ઉધના ઝોન, સેન્ટ્રલ ઝોન અને અઠવા ઝોનનો અડધો વિસ્તારમાં છેલ્લા બે દિવસ પાણી સપ્લાઇ ઠપ થઈ જતાં ટેન્કરો દોડાવવાની સ્થિતિ સર્જાઇ છે. શનિવારે સાંજે રિપેરિંગ પૂર્ણ થતાં સેન્ટ્રલ ઝોનમાં પાણી સપ્લાય બાદ તબક્કાવાર સપ્લાય કરાશે તેમ હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું હતું. 30 કલાક થી રિપેરિંગ કામગીરી ને પગલે પાણીનો લાખો લીટર વ્યય થયો છે. સંપૂર્ણપણે રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયા બાદ બાકીના વિસ્તારોમાં રાબેતા મુજબ પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે. સહારા દરવાજાથી દિલ્હી ગેટ પર ટ્રાફિક જામ થઈ ગયોસીટકો, મેટ્રો અને હાઇડ્રોલિક ખાતાએ મળી બેરિકેડ કરીને રિપેરિંગ કામગીરી હાથ ધરતાં રસ્તા પર પાણી જ પાણીને પગલે ટ્રાફિક ધીમો થઈ ગયો હતો તેથી સહારા દરવાજાથી દિલ્હીગેટ અને ફાલસાવાડી તરફના રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ ગઈ હતી. એસીપી વિમલ ગામિતે તુરંત પહોંચી ને ટ્રાફિક પોલીસ ગોઠવી વ્યવસ્થા સંભાળી હતી એકતબક્કે ભારે ટ્રાફિક ને સંભાળવા નાકે દમ આવી ગયો હતો. અઠવા,વરાછા,ઉધના,સેન્ટ્રલ ઝોન, ટેન્કરથી પાણી અપાયુંજૂની લાઇન તૂટી હોય રિપેરિંગમાં 30 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે વરાછા, ઉધના, સેન્ટ્રલ ઝોન તથા અઠવાનો અડધો વિસ્તારને પાણી સપ્લાય થઈ શકી ન હોય 14 લાખથી વધુ વસ્તીને અસર વર્તાઇ છે. જરૂરિયાત વિસ્તારમાં પાણીના ટેન્કરો દોડાવવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા મુજબ અઠવામાં મોટા બંગલો,મકાનો હોય ગાર્ડનિંગ સહિતનો ઉપયોગ વધુ રહેતાં પાણી ના ટેન્કરો વધુ દોડાવાયા હતા. દોઢ મહિનામાં વારંવાર પાણીની લાઇનને નુકસાન પહોંચાડનારી SITCOને પાલિકા નોટીસ ફટકારાશેસીટકો દ્વારા બ્રિજ માટેની ચાલતી કામગીરીમાં શુક્રવારે સવારે ફાલસાવાડી પોલીસ સ્ટેશન પાસે પાઈલ ના ખોદકામ વેળા જૂની મેઇન પાણીની લાઇન તોડી પાડી હતી. હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું હતું કે, સીટકોની કામગીરીમાં છેલ્લા દોઢ મહિનામાં આ વિસ્તારમાં જ આ ચોથી વખત મ્યુનિ.ની પાણીની લાઈનમાં તોડી પાડી છે. આ લાઇન 1200એમએમ ની 5મીટર તોડી છે. નવેમ્બરમાં ફાલસાવાડી નજીક 900એમએમ ની લાઈન અને 450 એમએમ ની લાઇન તોડી હતી તેમજ ડિસેમ્બરમાં 900 એમએમની લાઇન તોડવામાં આવી છે. આ વખતે વધુ ડેમેજ અને પાણી બગાડ થતાં હવે કમિશનરને ધ્યાને લાવી સીટકોને ચેતવણી સાથે નોટીસ ફટકારવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:21 am

આવેદનપત્ર:જૂના પાદરા રોડ ઉપર વૃદ્ધે લગાવેલા નો-પાર્કિંગના બે બોર્ડ પાલિકાએ કાઢી નાખ્યા

જૂના પાદરા રોડ પાસ જર્જરિત મકાનમાં રહેતા અને કોર્પોરેશનની રોડ શાખામાંથી નિવૃત્ત થયેલા 77 વર્ષિય વૃદ્ધે ગેરકાયદે લગાવેલા નો-પાર્કિંગના બે બોર્ડ આખરે પાલિકાની ટ્રાફિક શાખાએ શનિવારે સવારે 10 વાગે કાઢી લીધા હતા. આ પહેલા ગેરકાયદે નો-પાર્કિંગના બોર્ડ અંગે વેપારીઓ અને સ્થાનિક લોકોએ વિરોધ કરીને કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યવાહી બાદ લોકોએ પાલિકાનો આભાર માન્યો છે. અટલ બ્રિજના છેડા પાસે ભગવતી પાર્ક સોસાયટી આવેલી છે. જેના જર્જરિત મકાનમાં રહેતા વૃદ્ધ દ્વારા રોડ પર ગેરકાયદે નો-પાર્કિંગનાં 2 બોર્ડ લગાવી ટ્રાફિક પોલીસને ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે ટ્રાફિક પોલીસ નો-પાર્કિંગના બોર્ડ લગાવેલા સ્થળે કોઈ વાહન પાર્ક કરે તો દંડ તેમજ ચલણ આપી રહી હતી. નો-પાર્કિંગના બોર્ડ મુદ્દે લોકોએ વિરોધ કર્યો હતોજૂના પાદરા રોડ પર નો-પાર્કિંગના બોર્ડ અંગે લોકોના વિરોધ અને ઉપરી અધિકારીના આદેશ અન્વયે ગેરકાયદે નો પાર્કિંગના બોર્ડ કાઢી નખાયા છે. > અમૃતા જોષી, ડે.ઇજનેર, ટ્રાફિક શાખા

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:21 am

ભાસ્કર નોલેજ:વડોદરા-દહાણુ ટ્રેનમાં સ્લિપર કોચ મૂકવા રેલવે પેસેન્જર એસો. દ્વારા માગ

વડોદરા-દહાણુ એક્સપ્રેસ ટ્રેનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ધસારો વધવાના પગલે યાત્રીઓ દ્વારા ટ્રેનમાં સ્લિપર કોચ મૂકવાની માગણી કરી છે. આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી સવારે 6.20 કલાકે ઉપડે છે. સવારની શિફ્ટમાં કામ કરતા લોકો માટે આ ટ્રેનનું સમયપત્રક અનુકુળ છે. આ ટ્રેન દહાણુ રોડથી ઉપડીને રાત્રે સાડા આઠના સુમારે વડોદરા પહોંચે છે. અત્યારે જે કોચ ટ્રેનમાં જોડાય છે તેમાં માત્ર બેઠક વ્યવસ્થા છે જે અપૂરતી છે. જેના પગલે ટ્રેનમાં સ્લિપર કોચ મૂકવા માગ રેલવે પેસેન્જર એસો. દ્વારા કરાઇ છે. ભુજ-બાંદ્રા સયાજીનગરીને સમયસર સંચાલિત કરાયપેસેન્જર એસોસિયેશન દ્વારા ભુજ-બાંદ્રા સયાજીનગરી ટ્રેનને સમયસર સંચાલિત કરવા માગ કરવામાં આવી છે. આ પાછળનું કારણ એ છે કે, આ ટ્રેનમાં પણ શિફ્ટમાં કામ કરતાં સેંકડો કર્મચારીઓ કામ કરે છે. જો આ ટ્રેન મોડી પડે તો શિફ્ટમાં મોડા પડતાં કર્મચારીઓમાં પગાર કપાઇ જવાનો ભય તોળાતો રહે છે. જ્યારે વલસાડ-વડનગર ટ્રેનને અંકલેશ્વર સ્ટોપેજ આપવા પણ માગણી કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:20 am

ભાસ્કર ઈનસાઈડ:માંજલપુરમાં યુવકના મોત બાદ પાલિકા જાગી, તાબડતોડ બેરિકેડ-ઢાંકણાં લગાવ્યાં

માંજલપુર પાણીની ટાંકી બહાર ડ્રેનેજ લાઈનના ખુલ્લા મેઇન હોલમાં પડી જતાં 41 વર્ષના યુવકનું મોત થયું હતું. ઘટના બાદ પાલિકા તંત્રે સ્થળની આસપાસ બેરિકેડ લગાવી ઢાંકણું મૂક્યું હતું. પાલિકાએ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરને કારણદર્શક નોટિસ ફટકારી છે. માંજલપુર પાણીની ટાંકી બહાર ડ્રેનેજનો મેઇન હોલ ખુલ્લો હોવાથી તેમાં પડેલા 41 વર્ષના વિપુલસિંહ ઝાલાનું મોત થયું હતું. આ ઘટના બાદ પાલિકાનું તંત્ર દોડતું થયું હતું. જ્યારે ઘટના સ્થળ પાસે મૂકવામાં આવેલી પાણીની પાઇપ પાસે સવારે તાબડતોબ બેરિકેડ મૂકાયા હતાં. ખુલ્લી ગટર પર ઢાંકણું મૂક્યું હતું. તદુપરાંત કોન્ટ્રાક્ટર ઈકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસ દ્વારા બેદરકારી દાખવી હોવાથી પાલિકાએ કોન્ટ્રાક્ટર સામે પોલીસ અરજી આપી છે. આ સિવાય એડિ. આસિ. એન્જિનિયર અતુલ ભલગામિયાને કારણદર્શક નોટિસ આપી છે. ઘટના બાદ પાણીની ટાંકી સામેના રોડ પર ખુલ્લી ગટર ઉપર 9 જગ્યાએ ઢાંકણાં મુકાયાંમાંજલપુરમાં ગટરના મેઇન હોલમાં યુવકનું પડી જવાથી મોત થવાના પ્રકરણ બાદ પાલિકાનું તંત્ર દોડતું થયું હતું. સવારે 9 જગ્યાએ ખુલ્લી કેચપીટ પર ઢાંકણાં મૂક્યાં હતાં. ખાડાની આસપાસ નામ પૂરતી ભયસૂચક પટ્ટી લગાવી જવાબદારી પૂરી કરી હતી. એમજી પાર્ક ટેનામેન્ટની બહાર ખુલ્લી કેચપીટની બંને બાજુ માત્ર પ્લાસ્ટિકના થાંભલા મૂક્યા હતા. વૃક્ષોના ટ્રીમિંગના અભાવે અજવાળું ન હતુંશુક્રવારે સાંજે માંજલપુરમાં જ્યાં ઘટના બની ત્યાં ઘોર અંધારું હતું. ત્યાં વૃક્ષો ટ્રિમિંગ થયેલાં ન હોવાથી સ્ટ્રીટ લાઈટનું અજવાળું ખુલ્લા મેઇન હોલ સુધી જતું ન હતું. તદુપરાંત ખુલ્લા મેઇન હોલની બાજુમાં જ લોખંડની પાઇપ ભરેલું ટ્રેલર પાર્ક કરેલું હતું. જેને કારણે અજવાળાનો કોઈ અવકાશ ન હતો. ઘટના બાદ પાઇપ ભરેલા ટ્રેલરને ત્યાંથી રવાના કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:18 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:DGVCL-જેટકોના ઝટકા: ઉંભેળમાં 1 સેકન્ડના જર્કથી વીવિંગ મશીનના સાત હજારના કાર્ડ ફૂંકાઈ જાય છે, માસિક વીજબિલમાં 12 હજારનો ફટકો

કામરેજના ઉંભેળ સહિતના વિસ્તારોમાં વિકસી રહેલા નવા ટેક્સટાઈલ ઝોનમાં વીજળીના ધાંધિયા પડકાર બની રહ્યા છે. શહેરની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી હાલમાં અપગ્રેડેશન મોડમાં છે. જૂનાં મશીનો બદલીને ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ સહિતની હાઈ-સ્પીડ ટેક્નોલોજી સ્થાપી રહ્યા છે, પરંતુ જેટકો અને ડીજીવીસીએલ ભવિષ્યની માંગ પ્રમાણે વીજ પુરવઠાનું પ્લાનિંગ ન કરતાં ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, ‘આ વિસ્તારમાં 2 સબસ્ટેશનની જરૂર સામે હાલ એક જ સબસ્ટેશનમાંથી પુરવઠો ફાળવાતાં ક્વોલિટી પાવર મળતો નથી અને મશીનોની સર્કિટો ફૂંકાઈ જતાં પ્રોડક્શન લોસ આવે છે. એક સેકન્ડના પાવર જર્કથી વીવિંગ મશીનમાં 7 હજાર રૂપિયાના કાર્ડ ફૂંકાઈ જાય છે. વળી જર્ક બાદ એક સાથે તમામ મોટર આરપીએમ લોડ લેતાં બિલ વધે છે. એક મહિનામાં 30 ઝટકાથી 10થી 12 હજાર રૂપિયાનું બિલ વધી જાય છે.’ ઉંભેળમાં 1 હજારથી વધુ યુનિટો છે, બીજી તરફ નવા નવા ઉદ્યોગો સ્થપાતાં હોવાથી બે નવા સબસ્ટેશનની જરૂર છે. હાલ સબસ્ટેશનની ક્ષમતા સામે જોડાણો વધુ હોવાથી ક્વોલિટી પાવર મળતો નથી. ઉદ્યોગકારોની સતત રજૂઆતો છતાં અધિકારીઓની બેદરકારીથી વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગંભીર પ્રશ્ન બની ગયો છે. તંત્ર તાત્કાલિક આયોજન કરીને સમસ્યાનો ઉકેલ લાવે એ જ માંગડીજીવીસીએલ ગ્રાહક ફોરમના પ્રતિનિધિ કિરણ ઠુંમરે કહ્યું કે, ‘ઉદ્યોગકારોને ક્વોલિટી પાવર ન મળતાં મશીનો ડેમેજ થાય છે અને પ્રોડક્શન લોસ વધે છે. અનિયમિત પાવરથી કારીગરોને પણ સ્થિર કામ મળતું નથી. તંત્ર તાત્કાલિક આયોજન કરીને સમસ્યાનો ઉકેલ લાવે એ જ ઉદ્યોગકારોની માંગ છે.’ કરોડોની ડિપોઝિટ અને અબજોનાં બિલ છતાં ક્વોલિટી વીજળી નથીવીવર અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું કે, ‘કાપડ ઉદ્યોગ રાજ્યના વિકાસની કરોડરજ્જુ છે. ડીજીવીસીએલ કરોડોની ડિપોઝિટ, અબજોનાં બિલ વસૂલે છે છતાં ક્વોલિટી પાવર આપતી નથી. વારંવાર જર્કથી કાર્ડ, મશીન, ઉત્પાદનનું નુકસાન થાય છે. બેંકના હપ્તા ચાલુ છે, મશીનો-મજૂરો તૈયાર છે પણ વીજળી નથી. 55 ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીને એક જ સબ ડિવિઝનમાંથી પાવર મળે છેકામરેજમાં 55 ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી માટે એક જ સબસ્ટેશન છે. અગાઉ હળધરુ અને માંકણા ઈન્ડસ્ટ્રિયલને પણ એ જ સબસ્ટેશનમાંથી વીજળી મળતી હતી. ઉદ્યોગકારોની સતત રજૂઆતો બાદ આ બે ગામને બીજા સબસ્ટેશન સાથે જોડાયા છે, છતાં ઉંભેળ અને પરબ વિસ્તાર માટે લાંબા ગાળાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આગામી 2 વર્ષમાં જ નવા એક હજારથી વધુ યુનિટ શરૂ થશેહાલ ઉંભેળ અને પરબમાં 250થી વધુ નવા કારખાનાંનું બાંધકામ ચાલી રહ્યું છે. આગામી એક વર્ષમાં અંદાજે એક હજારથી વધુ નવાં ટેક્સટાઈલ યુનિટો સ્થાપિત થઈ જશે. જો જેટકો અને ડીજીવીસીએલ દ્વારા સમયસર વધતી માંગ પ્રમાણે સબસ્ટેશન ક્ષમતા અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન નહીં થાય તો હાલની સમસ્યા આવનારા સમયમાં વધુ વિકટ બનીને ઉદ્યોગની વૃદ્ધિને સીધી અસર પહોંચાડશે. નવા બે સબસ્ટેશન જરૂરી : હાલ પ્રોડક્શન લોસ, ઊંચી મેઇન્ટેનન્સ કોસ્ટ મોટી સમસ્યાઓછા વોલ્ટેજ, વારંવાર ટ્રિપિંગ અને અનિયમિત પાવર સપ્લાય જેવી સમસ્યાઓને કારણે હાઈ-ટેક મશીનોના સર્કિટો વારંવાર ડેમેજ થાય છે. મશીનરીના બ્રેકડાઉનથી પ્રોડક્શન બંધ થવાનું વધી રહ્યું છે. ઉદ્યોગકારો કહે છે કે ક્વોલિટી પાવર ન મળવાથી રોજિંદું ઉત્પાદન ઓછું થાય છે, મશીનોની મેઈન્ટેનન્સ કૉસ્ટ વધી જાય છે અને કારીગરોને પણ નિયમિત કામ ન મળવાથી તેઓ યુનિટો છોડીને બીજી જગ્યાએ કામ શોધવા મજબૂર થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:18 am

સિટી એન્કર:કેટરિંગની મહિલા પીઆરઓ સાથે પ્રેમનું નાટક કરી મેનેજરે દુષ્કર્મ ગુજાર્યું, લગ્ન કરવા પરિવારજનોની મંજૂરી લેવાનું કહી ભાગી ગયો

કેટરિંગની મહિલા પીઆરઓ સાથે મેનેજરને પ્રેમ થઈ જતાં લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલા પાસેથી યુવકે 2 લાખ પણ પડાવી લીધા હતા. ત્યારબાદ યુવક ભાગી ગયો હોવાની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઈ છે. લગ્ન કે શુભ પ્રસંગમાં કેટરિંગમાં પીઆરઓ તરીકે કામ કરતી 38 વર્ષીય મહિલાનો એક વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે કેટરિંગના મેનેજર હિતેશ લબાના (વડોદરા, મૂળ રાજસ્થાન) સાથે સંપર્ક થયો હતો. તે સમયે મોબાઇલ નંબરની આપ-લે થયા બાદ મિત્રતા થઈ હતી. મહિલા વિધવા હોવાની જાણ આરોપી હિતેશને થઈ હતી. બંને વારંવાર મળ્યા બાદ હિતેશે લગ્નની તૈયારી દર્શાવી હતી. તે પછી ગત ફેબ્રુઆરીમાં આજવા રોડની હોટેલ માન સરોવરમાં મહિલાને લઈ ગયો હતો. જ્યાં શારી સંબંધ બાંધવાની વાત કરતાં મહિલાએ ઇનકાર કર્યો હતો. જોકે યુવકે મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી 5 વખત મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ કર્યું હતું. બાદમાં હિતેશે કામ બરાબર મળતું નથી, નાસ્તાની દુકાન ચાલુ કરવી છે, કહી મહિલા પાસેથી 2 લાખ લીધા હતા. જોકે ખોડિયાર નગરમાં ખોલેલી દુકાન ન ચાલતાં બંધ કરી હતી. મહિલાએ આરોપીને લગ્ન કરવા જણાવતાં તેણે રાજસ્થાન રહેતા પરિવારની મંજૂરી લેવી પડશે કહી ભાગી ગયો હતો. તે પરત ન આવતાં મહિલા તપાસ કરવા રાજસ્થાન સ્થિત ડુંગરપુર ગઈ હતી. જ્યાં તેના ભાઈએ આરોપી પરત આવશે, એમ કહી પરત મોકલી હતી. લાંબા સમય સુધી આરોપી પરત ન આવતાં મહિલાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવાર પણ ઘર છોડી ભાગી ગયોકેટરિંગમાં કામ કરતી પીઆરઓને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપી વતન રાજસ્થાન ભાગી ગયો હતો. પરિણામે મહિલા તેને શોધવા ગત નવરાત્રીમાં તેના વતન ડુંગરપુર જિલ્લાના માડા ગામે ગઇ હતી. તે સમયે આરોપીના ભાઈએ તેને સમજાવી હતી કે, આરોપી વડોદરા આવી લગ્ન કરશે. જોકે આરોપી ન આવતાં મહિલા ફરી તેના વતન ગઈ હતી. એ સમયે તેનો પરિવાર પણ ઘર છોડી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:17 am

સમાધાન:ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલવા ફરી પ્રયોગ, 5 સ્થળે સ્પ્રિંગ પોસ્ટ લગાવાયાં,વાહનો હવે સરળતાથી ડાબી તરફ જઈ શકશે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પોલીસ લેઇન ડ્રાઇવિંગ કરાવવા પર ભાર આપશે. શહેરના 5 ભારે ટ્રાફિક પોઇન્ટનો સરવે કરી વાહનો હવે સરળતાથી ડાબી તરફ વળી શકે તે માટે પોલીસે ‘સ્પ્રિંગ પોસ્ટ’ લગાવ્યા છે. જોકે તે સ્પ્રિંગ પોસ્ટની વચ્ચેથી કોઈ પસાર ન થાય તે માટે તેની વચ્ચે ‘વ્હીલ ચોક્સ’ પણ લગાવી દેવાયા છે. જ્યારે અન્ય સ્થળે પણ સરવે કરી સ્પ્રિંગ પોસ્ટ લગાવાશે. તાજેતરમાં વુડા સર્કલ પાસે બસે વૃદ્ધ દંપતીને અડફેટે લેતાં વૃદ્ધાનું મોત થયું હતું. જેને પગલે ખાસ વુડા સર્કલ પાસે રોડ પર લાંબી ચેઇનમાં સ્પ્રિંગ પોસ્ટ લગાવાયાં છે. પોલીસ દ્વારા લાંબા સમયથી સ્પ્રિંગ પોસ્ટની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી હતી. જ્યારે અન્ય સ્થળે પાલિકાને પત્ર લખી બુલાર્ડ, ડિવાઇડર, ડાબી તરફના વળાંક માટે સિમેન્ટના ડિવાઇડર લગાવવાનું આયોજન કરાશે. ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડને વધુ સંખ્યામાં ગ્રાઉન્ડ પર ઉતારાશે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટીઆરબીની 160ની ઘટને ભરવા 5 દિવસ બાદ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ લગાવેલા બુલાર્ડ લોકો કાઢી ગયામાર્ચ મહિનામાં ફતેપુરા, કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે, ન્યૂ વીઆઈપી રોડ પાલિકા દ્વારા બુલાર્ડ લગાવવામાં આવ્યાં હતાં. કેટલાંક બુલાર્ડ લોકોએ ઉખાડી દીધાં, જ્યારે કેટલાક ચોરી પણ થઈ ગયા હતા. વર્ષની શરૂઆતમાં શહેરના 60 કટની ઓળખ કરી ત્યાં બુલાર્ડ સહિત લગાવવાનું આયોજન કરાયું હતું. પ્રાથમિક પોઇન્ટ પર લગાવાયા છેપોલીસે પ્રાથમિક 5 હેવી ટ્રાફિક પોઇન્ટ પર સ્પ્રિંગ પોસ્ટ લગાવાયા છે. વાહન ચાલકો સરળતાથી ડાબી તરફ વળી શકે તે માટે આયોજન કરાયું છે. ટીઆરબીની 160 જગ્યાની ઘટની ભરતી કરી ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગ્રાઉન્ડ પર ઉતારાશે. > તેજલ પટેલ, ડીસીપી ટ્રાફિક ક્યાં સ્પ્રિંગ પોસ્ટ લગાવાયાં છે?

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 6:16 am