SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું:લોહીલુહાણ હાલતમાં રોડ પર પટકાયો, ગળાના ભાગે 50 ટાંકા લેવા પડ્યાં, સમયસર સારવારથી જીવ બચી ગયો

દાહોદ શહેરના ગરબાડા ચોકડી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. બાઈક લઈને ઘરે જઈ રહેલા યુવકના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી ફસાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યુવકના ગળાના ભાગે દોરી વાગતા નસ અને ચામડી કપાઈ ગઈ હતી અને યુવક લોહીલુહાણ હાલતમાં રોડ પર પટકાયો હતો. ઘટનાને લઈ વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદરૂપ થઈ ઇજાગ્રસ્ત યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકની હાલત ગંભીર હોવાનું જોતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. આ બાબતે સારવાર આપનાર ડૉ. હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, યુવક બાઈક પર જઈ રહ્યો હતો, તે દરમિયાન ગરબાડા ચોકડી પાસે ચાઈનીઝ દોરી ગળામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ગળાની નસો અને ચામડી કપાઈ ગઈ હતી. યુવકના ગળાના ભાગે અંદાજે 50 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ તેની હાલત સ્થિર છે. આ ઘટનાને લઈ યુવકના મામા ઈરફાનભાઈએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમનો ભાણેજ કામ પૂર્ણ કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે ગરબાડા ચોકડી વિસ્તારમાં પતંગની ચાઈનીઝ દોરી ગળામાં આવી જતા ગળું કપાઈ ગયું હતું અને ભારે રક્તસ્ત્રાવ થયો હતો. સદનસીબે સ્થાનિક લોકોએ સમયસર ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં યુવકનો જીવ બચી ગયો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, દાહોદ શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈનીઝ દોરી ખૂબ સહેલાઈથી મળી રહી છે, જેના કારણે આવા ગંભીર અને જીવલેણ અકસ્માતો વધી રહ્યા છે. તેમણે સરકાર અને તંત્ર પાસે માંગ કરી છે કે, ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય. આ ઘટનાએ ફરી એકવાર ચાઈનીઝ દોરીના ખતરા સામે તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 2:27 pm

સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવારજનોની હાલાકી:સ્ટાફના અભાવે પરિવારજનો સ્ટ્રેચર ખેંચવા મજબૂર, તંત્ર સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે?

અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓને એક વિભાગથી બીજા વિભાગમાં લઈ જવા માટે જરૂરી સ્ટાફની અછત હોવાના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્ટ્રેચર ખેંચવા માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ નથી. પરિણામે, સારવાર માટે આવેલા દર્દીઓને એક્સ-રે, MRI સહિતની તપાસ માટે તેમના પરિવારજનોને જ સ્ટ્રેચર પર લઈ જવા મજબૂર થવું પડી રહ્યું છે. વિડિઓમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે, દર્દીઓના પરિવારજનો એક હાથમાં બાટલો અને બીજા હાથમાં સ્ટ્રેચર ખેંચતા નજરે પડે છે. એટલું જ નહીં, વ્હીલ ચેરમાં દર્દીઓને લઈ જવા માટે પણ કોઈ સ્ટાફ ન હોવાને કારણે પરિવારજનોને જ જવાબદારી સંભાળવી પડી રહી છે. દર્દીઓને લઈ જવા માટે કોઈ સ્ટાફ આપવામાં આવતો નથીદર્દીઓના પરિવારજનો જણાવી રહ્યા છે કે, હોસ્પિટલ તરફથી સ્ટ્રેચર કે વ્હીલ ચેર પર દર્દીઓને લઈ જવા માટે કોઈ સ્ટાફ આપવામાં આવતો નથી, જેના કારણે તેઓ શારીરિક અને માનસિક રીતે પરેશાન થઈ રહ્યા છે. RMOનો સંપર્ક કરતા તેઓએ આ અંગે કોઈ જવાબ આપ્યો નહીંજોકે આ અંગે દિવ્ય ભાસ્કરે સોલા સિવિલના RMO દેવાંગ શાહનો સંપર્ક કરતા તેઓએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. રાજ્યની મોટી સરકારી હોસ્પિટલોમાંની એક એવી સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેની સુવિધાઓનો અભાવ કેમ. હવે જોવાનું રહેશે કે, તંત્ર આ ગંભીર સમસ્યા પર ક્યારે અને કેવી રીતે પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 2:23 pm

જામનગરમાંથી 22 ગુનાના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો:લૂંટ અને ધાડના ગુનામાં મુખ્ય ભૂમિકા હતી, મજૂરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો

સુરત: ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા રીઢા ધાડપાડુ આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2017માં સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટ અને ધાડના ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપી સુનીલ ઉર્ફે સોનીયો જેદુન ઉર્ફે યહુન સારેલને જામનગરથી દબોચી લેવામાં આવ્યો છે.જામનગરના જામવંથલી ગામ ખાતે કડીયાકામની મજૂરી કરતો હતો. લૂંટ, કુહાડીના ઉંધા ઘા ઝીંકી જીવલેણ હુમલો ને ફરાર30 નવેમ્બર 2017ના રોજ રાત્રીના 11:30 વાગ્યાની આસપાસ સુરતના પાસોદરા લસકાણા વિસ્તારમાં આવેલ માનવ ફાર્મ સામેના એક મકાનમાં ધાડ પડી હતી. આરોપી સુનીલ અને તેના અન્ય સાગરીતોએ પ્રાણઘાતક હથિયારો સાથે મકાનમાં પ્રવેશ કર્યો હતો. લૂંટના ઈરાદે આવેલા આ શખ્સોએ મકાનમાં હાજર ફરિયાદીના માતા-પિતા અને ભાઈ પર કુહાડીના ઉંધા ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ સોના-ચાંદીના દાગીના, રોકડ અને 3 મોબાઈલ ફોન મળી કુલ 66,500 રૂપિયાની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. અગાઉ 8ની ધરપકડઆ ગુનામાં અગાઉ પોલીસે 8 સાગરીતોની ધરપકડ કરી લીધી હતી, પરંતુ મુખ્ય આરોપી સુનીલ સતત પોલીસને થાપ આપી રહ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની 'નાસતા ફરતા સ્કોડ' તેને પકડવા માટે અગાઉ સેલવાસ અને તેના વતન મધ્યપ્રદેશમાં પણ તપાસ કરી હતી, પરંતુ તે દર વખતે નાસી છૂટવામાં સફળ રહેતો હતો. જામનગરના જામવંથલી ગામમાંથી આરોપીને દબોચ્યોતાજેતરમાં ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પોતાની ઓળખ છુપાવી જામનગરના જામવંથલી ગામ પાસે કડીયાકામની મજૂરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જામવંથલીની નવી બંધાતી સાઈટો પર વોચ ગોઠવી હતી અને આખરે 28 વર્ષીય સુનીલ સારેલને દબોચી લીધો હતો. આરોપીનો ગુનાહિત ઈતિહાસપકડાયેલ આરોપી સુનીલ મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાનો વતની છે અને તે એક રીઢો ગુનેગાર છે. તપાસમાં સામે આવ્યું છે કે તેના વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 22 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં મુખ્યત્વે ઝાલોદ પોલીસ સ્ટેશન: 2014 માં ધાડનો ગુનો, ઈચ્છાપોર પોલીસ સ્ટેશન: 2015 માં આર્મ્સ એક્ટ અને ધાડનો ગુનો, લીંબડી પોલીસ સ્ટેશન: 2016 માં ઘરફોડ ચોરીના બે અલગ-અલગ ગુનાઓ શામેલ છે. 8 વર્ષ બાદ આરોપીના પકડાયોક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તેને સરથાણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 8 વર્ષ બાદ આરોપીના પકડાવાને કારણે સુરત પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને લસકાણા વિસ્તારના પીડિત પરિવારને ન્યાય મળવાની આશા જાગી છે. પોલીસ પકડથી બચવા માટે તે છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો હતો. આ દરમિયાન તેણે પોતાની ઓળખ છુપાવવા માટે અલગ-અલગ જગ્યાઓ બદલી હતી. છેલ્લે તે જામનગરમાં સ્થાયી થયો હતો અને ત્યાં નવી બંધાતી બાંધકામની સાઇટો પર મજૂર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે જામવંથલીમાં નવી બંધાતી સાઇટો પર સતત વોચ ગોઠવી હતી અને આખરે તેને કામ કરતા સમયે જ દબોચી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 2:08 pm

મકરપુરા GIDCમાં સતત ત્રીજી કંપનીમાં ચોરી:સ્ટિલ ફેબ્રીકેટેડ કંપનીમાંથી 75 હજારની મત્તાની ચોરી, ચોરીઓ વધી જતા કંપનીઓના સંચાલકોમાં ભયનો માહોલ

વડોદરા શહેરમાં આવેલ મકરપુરા GIDCમાં ત્રીજી કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છેજેમાં સ્ટિલ ફેબ્રીકેટેડ નામની કંપનીમાંથી અજાણ્યા ચોરોએ સ્ટેનલેસ સ્ટીલની પ્લેટો તેમજ કોપર વાયરનું ગૂંચળું સહિત કુલ 75 હજારની મત્તાની ચોરી કરી હતી. આ મામલે કંપનીના માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી અતુલભાઈ મણીલાલ પંચાલ (ઉ.વ. 45) મકરપુરા GIDCમાં 'સ્ટિલ ફેબ્રીકેટેડ' નામની કંપની ચલાવે છે. તેમના ફરિયાદ અનુસાર, ગત 6 નવેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યે તેમણે કંપની ખોલી હતી અને સાંજે 7 વાગ્યે કંપનીના કર્મચારીએ મુખ્ય ગેટ બંધ કરી તાળું મારીને જતા રહ્યા હતા. રાત્રે લગભગ 9 વાગ્યે કંપનીની બાજુમાં રહેતા એક વ્યક્તિએ ફોન કરીને જાણ કરી કે કંપનીના ગેટનું તાળું તૂટેલું છે. ફરિયાદી તુરંત કંપનીએ પહોંચ્યા ત્યારે મુખ્ય ગેટનું તાળું તોડીને ચોરોએ અંદર પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીમાં તપાસ કરતાં સ્ટેનલેસ સ્ટીલની બે પ્લેટો તેમજ એક કોપર વાયરનું ગૂંચળું ગાયબ હતું. કુલ મળીને 75 હજાર રૂપિયાની મત્તાની ચોરી થઈ છે. ફરિયાદીએ ચોરીના સામાનની શોધખોળ કરી હતી, પરંતુ સામાન મળી આવ્યો નહોતો. જેથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધાવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ પહેલા વડોદરા શહેરના મકરપુરા GIDCમાં આવેલી બે કંપનીમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપનીમાં બે તસ્કરો 1.68 લાખની કિંમતના કોપરના 16 નંગની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેથી કંપની માલિકે ચોરીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. બીજી તરફ મકરપુરા જીઆઇડીસીની વર્મા એન્જિનિયરિંગ કંપનીમાંથી સ્ટીલની રિંગ અને સ્ટીલની સાફ્ટિંગ મળી રૂ. 1.67 લાખના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયાં હતા. જેથી કંપની માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 2:04 pm

હું કોર્પોરેટર બોલું છું, જવા દે...:કોર્પોરેટર હરીશ પટેલે જ ઢોર પાર્ટીને બોલાવી ગાયો પકડાવી, પછી ભલામણ કરી છોડાવી, ઓડિયો-વીડિયો ભાસ્કર પાસે; અધિકારીને પૂછતા જવાબ આપવાનું ટાળ્યું

વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવે છે, જેમાં ખાસ કરીને રખડતા ઢોરના કારણે નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય છે. ત્યારે આ મામલે કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં ઢોર માલિકો ક્યારેક હુમલો તો ક્યારેક બબાલ કરી ઢોર છોડાવી જાય છે. તો ક્યારેક કોઈ લાગવગ કે પોતાની વગ ચલાવી ઢોર મુક્ત કરાવે છે. એક મહિના અગાઉ છાણી વિસ્તારમાં ઢોર પાર્ટી ઢોર પકડે છે અને ત્યારબાદ કોર્પોરેટરની ભલામણથી આ ઢોર મુક્ત કરવામાં આવે છે. જેનો સમગ્ર ઓડિયો-વીડિયો દિવ્ય ભાસ્કર પાસે આવ્યો છે. ઢોર પાર્ટી દ્વારા શહેરના વોર્ડ નંબર-1માં કરવામાં આવેલી કામગીરીમાં બે ગાયોને પકડવામાં આવે છે, ત્યારબાદ ઢોર પાર્ટીનો હંગામી કર્મચારી મનોજ અને ઢોર પાર્ટીના અધિકારી સરવૈયા એકબીજા સાથે ટેલિફોનિક વાતચીત કરે છે, તેનો ઓડિયો સામે આવ્યો છે. સાથે જ વોર્ડ નંબર-1ના કાઉન્સિલર હરીશ પટેલ અને ઢોર પાર્ટીના કર્મચારી વચ્ચેની વાતચીતનો પણ એક ઓડિયો દિવ્ય ભાસ્કર પાસે આવ્યો છે. આ સાથે ઢોર પાર્ટીના કર્મચારીઓએ ગાયો છોડતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો તે પણ દિવ્યભાસ્કર પાસે આવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલની ઢોર પાર્ટીના કર્મી સાથેની વાતચીતનો ઓડિયો હરીશ પટેલ: વિજય પંચાલ સાથે વાતચીત થઈ ગઈ છે, જવા દેજો. ઢોર પાર્ટી કર્મી: તમે કોણ બોલો છો સાહેબ? હરીશ પટેલ: હું હરીશભાઈ પટેલ બોલું છું કોર્પોરેટર. ઢોર પાર્ટી કર્મી: હા જવા દઉં છું સાહેબ. ઢોર પાર્ટીના હંગામી કર્મચારી મનોજભાઈ અને ઢોર પાર્ટીના અધિકારી સરવૈયાની વાતચીતનો ઓડિયો સરવૈયા: શું થયું મનોજભાઈ. કર્મચારી: કોર્પોરેટર કહે છે મનોજભાઈ છોડી દો.. સરવૈયા: કોઈએ વીડિયો બનાવ્યા છે. કર્મચારી: હા વીડિયો બનાવ્યા છે સર. સરવૈયા: ભલે કોર્પોરેટર સાહેબ કે છે તો છોડી દો બીજું શું હોય. કર્મચારી: ગાયો પકડી મહેનતનું શું, ટ્રેક્ટર આવ્યું છે. સરવૈયા: તો રહેવા દો કોર્પોરેટર સ્ટે એકવાર વાતચીત કરી લો. ‘હરીશભાઈ અને વિક્રમ સરવૈયા સાહેબના કહેવાથી બે ગાયોને છોડવામાં આવે છે’ઢોર પાર્ટીના કર્મીની વીડિયો વાઇરલ થયો છે તેમાં તે બોલે છે કે, આ ગાયો ખેતરમાં ઘૂસી ગઈ હતી, હરીશભાઈ ભાણાના કહેવાથી અને વિક્રમ સરવૈયા સાહેબના કહેવાથી બે ગાયોને છોડવામાં આવે છે તેવો વીડિયો બનાવી છોડી મૂકે છે. ખેડૂત અને પશુપાલક વચ્ચે સમાધાન થયું હશે એટલે મેં ગાયો છોડવા કોલ કર્યો હતો: કોર્પોરેટરઆ અંગે દિવ્ય ભાસ્કર હરીશ પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરતા તેઓએ કહ્યું કે, આ ગાયો પકડવા મેં જ કોલ કર્યો હતો. મને ખેડૂતનો કોલ આવ્યો હતો કે મારા ખેતરમાં ગાયો આવી જાય છે, પરંતુ ખેડૂત અને પશુપાલક વચ્ચે સમાધાન થયું હશે એટલે મેં ગાયો છોડવા કોલ કર્યો હતો. કોલ આવ્યો હતો, આમ ભલામણ ન હતી: વિક્રમ સરવૈયાઆ અંગે વિક્રમ સરવૈયા સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે કોલ આવ્યો હતો, આમ ભલામણ ન હતી. આ બાબતે હું તમને પછી જણાવીશ તેવું કહી વાતચીત કરવાનું ટાળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:58 pm

'મિની કુંભ' મહાશિવરાત્રી ને લઈ તંત્રનું રૂટ નિરીક્ષણ.:​જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા પૂર્વે તંત્ર એક્શન મોડમાં: મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધીના દબાણો હટાવાયા; ભાવિકોના પાર્કિંગ માટે રૂટનું કરાયું નિરીક્ષણ

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મેળાના સુચારુ આયોજન માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળાને 'મિની કુંભ' તરીકે ઉજવવાનું આયોજન હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે.જેને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને મનપાના અધિકારીઓની હાજરીમાં મેળાના મુખ્ય રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ​ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા દબાણો દૂર કરાયા મેળા દરમિયાન સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને પાર્કિંગની રહેતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધીના માર્ગ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ધારાગઢ નજીક આવેલા બે ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તા પર નડતરરૂપ અન્ય દબાણોને પણ વહેલી તકે દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે, અન્યથા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ પ્રાંત અધિકારી ચલણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ વર્ષે શિવરાત્રી મેળો ભવ્ય રીતે યોજાવાનો છે.ભાવિકોને વાહન પાર્કિંગ અને અવરજવરમાં કોઈ અગવડતા ન પડે તે હેતુથી ગિરનાર દરવાજાથી મજેવડી દરવાજા સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. દબાણોનો સર્વે કરી નડતરરૂપ બાંધકામો હટાવવાની પ્રક્રિયા શરૂ છે. મેળાનું આયોજન સુચારુ અને ભવ્ય રીતે થાય તે માટે વહીવટી તંત્ર પૂરી રીતે સજ્જ છે. તંત્ર દ્વારા હાલમાં મેળાના રૂટ પર આવતા તમામ નાના-મોટા દબાણોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પાર્કિંગ લોટ નક્કી કરવા અને મેળાના રૂટ પર લાઈટિંગ, પીવાનું પાણી તથા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર આસ્થાના આ મહાપર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:52 pm

ચાલુ ટ્રેનમાં નિવૃત્ત PI ઉપર હુમલો:મોઢે રૂમાલ બાંધી અજાણ્યા શખ્સે આગ ઓલવવાની બોટલ અને ઢીંકા-પાટુનો માર મારી રિવોલ્વર ટાઈપ લાઇટરની લૂંટ ચલાવી

રાજકોટ નજીક ચાલુ ટ્રેનમાં નિવૃત પીઆઇ સાથે લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા કોર્ટ મુદ્દતે જામનગરથી અમદાવાદ જવા વડોદરા જતી ઈન્ટરસિટીમાં બેઠા હતા. દરમિયાન હાપાથી ટ્રેન નીકળી અને પડધરી પહોંચવાની તૈયારી હતી ત્યારે ચાલુ ટ્રેનમાં તેમના પર મોઢે રૂમાલ બાંધેલા હિન્‍દી ભાષી શખ્‍સે હુમલો કરી ઢીકાપાટુ તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના લોખંડના બાટલાથી બેફામ માર મારી લોહીલુહાણ કરી નાંખી તેમની પાસેના રિવોલ્‍વર જેવા દેખાતા લાઈટર, બે મોબાઇલ ફોન લૂંટી લેતાં રેલ્‍વે પોલીસની ટીમે તપાસ શરૂ કરી હુમલાખોરને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હુમલામાં ગંભીર ઇજા પામનારા નિવૃત પીઆઇને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોર્ટ મુદત અમદાવાદ જવા ટ્રેનમાં નીકળા હતાજામનગરમાં જી.જી.હોસ્‍પિટલ પાસે રહેતાં ધર્મેન્‍દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77) જામનગર-વડોદરા ઇન્‍ટરસીટી ટ્રેનમાં બેસી વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા નીકળ્‍યા હતા ત્‍યારે 5 વાગ્‍યે ટ્રેન હાપાથી ઉપડી પડધરી પહોંચે તે પહેલા ચાલુ ટ્રેનમાં ધર્મેન્‍દ્રસિંહ પર અજાણ્‍યા શખ્સે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના બાટલા વડે માથા-મોઢા પર બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દરમિયાન ટ્રેન રાજકોટ સ્ટેશન આવી ત્‍યારે ધર્મેન્‍દ્રસિંહને લોહી નીકળતી હાલતમાં ટ્રેનમાંથી બહાર આવતાં લોકો એકઠા થઇ ગયા હતાં અને 108 મારફત સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતાધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ પ્રાથમિક પુછપરછમાં જણાવ્‍યું હતું કે હું અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતો હતો. અઢાર વર્ષથી નિવૃત છું, મારે આજે અમદાવાદ કોર્ટમાં મુદ્દત હોવાથી જામનગરથી ટ્રેનમાં બેઠો હતો. આ ટ્રેન ધ્રોલ-પડધરી વચ્‍ચે સવારે પાંચેક વાગ્‍યે પહોંચી ત્‍યારે ટ્રેનના ડબ્‍બામાં હું એકલો જ હતો. આ વખતે હિન્‍દીભાષી શખ્સ મોઢે રૂમાલ બાંધી આવી બોલાચાલી કરી માથાકુટ કરી મારકુટ ચાલુ કરી હતી અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. મેં પ્રતિકાર કરતાં ઢીકા-પાટુ માર્યા હતાં અને બાદમાં ટ્રેનમાં ફાયર સેફટી માટે રખાયેલો લોખંડનો બાટલો કાઢીને તેનાથી મને બેફામ માર માર્યો હતો. તેમને મારી પાસેથી શોખ ખાતર રાખવામાં આવેલું રિવોલ્‍વર જેવું દેખાતું લાઈટર તેમજ મારા બે મોબાઇલ ફોન લૂંટી નાસી ગયા હતાં. મને ખુબ માર માર્યો હોવાથી હું બેભાન થઇ ગયો હતો. રાજકોટ ટ્રેન પહોંચી ત્‍યારે ભાનમાં આવતાં નીચે ઉતર્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:44 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સેમેસ્ટર-1ની પરીક્ષા 1 જાન્યુઆરીથી શરૂ થશે:186 કેન્દ્રો પર 90,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા અને અંતિમ તબક્કાની પરીક્ષાઓનું આયોજન 1 જાન્યુઆરી 2026 થી કરવામાં આવ્યું છે. આ તબક્કામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 1 ના અંદાજે 90,000 થી 1,00,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા શાખા દ્વારા જણાવાયું છે કે, ત્રીજા તબક્કાની આ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2026 થી શરૂ થઈ 9 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાના સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવશે. સમગ્ર ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં કુલ 186 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરાયા છે. અંદાજિત 90,000 થી 1,00,000 જેટલા પરીક્ષાર્થીઓ અહીં પરીક્ષા આપશે. વહીવટી કારણોસર ત્રણ પરીક્ષા કેન્દ્રો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રણ તબક્કાની પરીક્ષાઓ પૈકી પ્રથમ બે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયા છે. પરીક્ષાના સુચારૂ સંચાલન માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:39 pm

રાપરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વડીલ વંદના:ધારાસભ્યના સહયોગથી કાનપર ખાતે કાર્યક્રમ યોજાયો

રાપર ખાતે ભારત વિકાસ પરિષદની રાપર શાખા દ્વારા વડીલ વંદના પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સંપૂર્ણ સહયોગથી કાનપર સ્થિત શ્રી લીંગ માતાજી મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાપર તાલુકાના પાંસઠ વર્ષથી ઉપરના વડીલોને બે બસ અને અસંખ્ય વાહનો દ્વારા કાનપર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વડીલ વંદનાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. અંકિતભાઈ ચંદેએ વંદે માતરમનું ગાન કર્યું હતું. ભારત વિકાસ પરિષદના પ્રમુખ કરણસિંહ વાઘેલાએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના ઉપાધ્યક્ષ ડો. રાહુલ પ્રસાદે સંસ્થાની સ્થાપના, હેતુ, ઇતિહાસ, ઉપયોગિતા અને સમાજમાં તેના લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરસિંહ સોઢા અને કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરારદાન ગઢવીએ લોકસાહિત્યની વાતોથી વડીલોને મનોરંજન પૂરું પાડ્યું હતું, જ્યારે હેમુગીરી ગોસ્વામીએ સત્સંગનું પાન કરાવ્યું હતું. શ્રી યોગ વેદાંત સેવા સમિતિ-રાપરના ભાઈઓએ વડીલોના હસ્તે તુલસી પૂજન કરાવ્યું હતું અને તુલસી માતાના લાભો વિશે માહિતી આપી હતી. બાબુલાલ બ્રહ્મચારી, સુરેશભાઈ ગજોરા, જીવણભાઈ પટેલ અને સમિતિના સભ્યોએ તુલસી પૂજનમાં સહયોગ આપ્યો હતો. ત્યારબાદ વડીલોની વંદના કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત વડીલોનું શુદ્ધ મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું. અલ્પેશ મહારાજે મંત્રોચ્ચાર કરાવ્યા હતા. શ્રી લીંગ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહાદેવભાઈ ભુસણ દ્વારા વડીલોને આકર્ષક રુદ્રાક્ષ માળા અર્પણ કરવામાં આવી હતી, જ્યારે સંસ્થા દ્વારા દરેક વડીલને સ્ટીલના થાળી સેટ ભેટ આપવામાં આવ્યા હતા. તમામ વડીલોએ માતાજીના પ્રાંગણમાં રાસ-ગરબા રમ્યા હતા. આ વડીલ વંદના કાર્યક્રમમાં 93 વર્ષીય ડો. બારોટભાઈ પણ જોડાયા હતા, જે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. આ કાર્યક્રમની સાથે રાપર તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પરીક્ષાઓમાં અવ્વલ આવનાર તાલુકાભરના વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તાલુકા શિક્ષક સંઘના શિક્ષકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મંત્રી જયેશભાઈ સોની, ખજાનચી સવજીભાઈ ભાટી, સદસ્યો વિનુભાઈ થાનકી, ઈશ્વરભાઈ ચાવડા, ચંદ્રેશભાઈ દરજી, મુકેશભાઈ ગજ્જર, મધુભા વાઘેલા, રવજીભાઈ અખિયાણી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંજયભાઈ વિશ્વકર્મા, વિજયભાઈ જાની, વિજયભાઈ વ્યાસ, સંજયભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ કચ્છી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ સોનીએ કર્યું હતું અને પારસભાઈ ઠક્કરે આભાર દર્શન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:37 pm

વલસાડમાં ગાયોનું ગેરકાયદે પરિવહન કરતો ટેમ્પો ઝડપાયો:ડ્રાઇવરની ધરપકડ, 3.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વલસાડમાં ગાયોનું ગેરકાયદેસર પરિવહન કરતા એક ટેમ્પોને પોલીસે ઝડપી પાડ્યો છે. રાત્રિના સમયે મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ અને સિટી પોલીસે ધરમપુર ચોકડી બ્રિજ નીચેથી આ કાર્યવાહી કરી હતી. પોલીસે ટેમ્પોમાંથી 9 ગાયો અને 3.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ હેલ્પલાઇન 112 પર રાત્રિના આશરે 12:05 વાગ્યે જુજવા મીલ ફળીયા તરફથી ગાયો ભરેલા ટાટા કંપનીના ટેમ્પો દ્વારા બિનકાયદે પરિવહન થતું હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક ધરમપુર ચોકડી બ્રિજ નીચે પહોંચીને MH-12-EF-8757 નંબરના ટેમ્પોને રોક્યો હતો. ટેમ્પોની તપાસ કરતા તેમાં ઘાસ, ચારો કે પાણીની કોઈ સુવિધા વગર દોરડા વડે ઠસોઠસ 9 ગાયો ભરેલી મળી આવી હતી. ટેમ્પો ડ્રાઇવર પાસે ગાયોના પરિવહન માટે કોઈ પાસ-પરમિટ કે ડોક્ટરી મેડિકલ સર્ટિફિકેટ પણ નહોતું. પોલીસે પંચનામા હેઠળ ₹68,000ની કિંમતની 9 ગાયો, ₹3,00,000નો ટેમ્પો અને ₹1,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹3,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં મહમદ આરીફ મહમદ અશફાક ખાન (ઉં.વ. 31) નામના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મહમદ હુસૈન નામનો અન્ય આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ (સુધારો) 2017 અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી ગાયોને રાતા અજીત સેવા ટ્રસ્ટ પાંજરાપોળ, વાપી ખાતે સંભાળ માટે મોકલી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:36 pm

ધો.12 ​બોર્ડ પરીક્ષાના ટેન્શનમાં જૂનાગઢની સગીરાએ ગળેફાંસો ખાધો:અભ્યાસમાં થોડી નબળી હોવાથી સતત તણાવમાં રહેતી;પિતા, પરિવાર સહિત સમગ્ર ભેસાણના મેંદપરામાં શોકનું મોજું

જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં ધોરણ-12ની બોર્ડની આગામી પરીક્ષાના ડર અને ટેન્શનને કારણે એક સગીરાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવનનો અંત આણ્યો છે. મૃતક વિદ્યાર્થીની અભ્યાસમાં થોડી નબળી હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક તણાવમાં રહેતી હતી, જેના પરિણામે તેણે આ અત્યંત આઘાતજનક પગલું ભર્યું હોવાનું પિતાનું કહેવું છે. એક દીકરીના આવા કરુણ અંતથી તેના પિતા અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર મેંદપરા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક સગીરાના પિતાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં પોતાની વ્હાલસોયી દીકરીના અપમૃત્યુ અંગેની જાણ કરી છે. ​બોર્ડ પરીક્ષાના ટેન્શનમાં સગીરાએ આત્મહત્યા કરીમૃતક સગીરાના પિતાએ પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ સગીરા ધોરણ-12 માં અભ્યાસ કરતી હતી. માર્ચ મહિનામાં આવતી બોર્ડની પરીક્ષા હવે નજીક હતી. પરંતુ દીકરી અભ્યાસમાં થોડી નબળી હોવાથી તે સતત તણાવમાં રહેતી હતી. ‘પોતે બોર્ડની પરીક્ષામાં પાસ થશે કે કેમ?’ તેવા ડર અને માનસિક ટેન્શનના કારણે તેણે 23 ડિસેમ્બરના રોજ સવારે પોતાના ઘરે છત સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસને જાણ કરાય હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. ​સગીરોમાં વધતું આત્મહત્યાનું પ્રમાણ ચિંતાનો વિષયછેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સગીર વયના બાળકોમાં આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નાની ઉંમરમાં ભણતરનો બોજ, વાલીઓની અપેક્ષાઓ અને માનસિક રીતે નબળા પડતા બાળકો જિંદગી સામે હાર માની લે છે. પીપળીયા ગામના આ કિસ્સો પણ એક લાલબત્તી સમાન છે. નિષ્ણાંતોના મતે, જ્યારે બાળક અભ્યાસમાં નબળું હોય કે ટેન્શનમાં હોય ત્યારે તેને ડર બતાવવાને બદલે પ્રેમ અને હુંફની જરૂર હોય છે. બોર્ડની પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી તે સમજાવવામાં ક્યાંક આપણે ઉણા ઉતરી રહ્યા છીએ. ભેસાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી આ ઘટના બાદ મનોચિકિત્સકો અને સામાજિક કાર્યકરો અપીલ કરી રહ્યા છે કે, વાલીઓએ પોતાના બાળકો સાથે મિત્રતાભર્યું વર્તન રાખવું જોઈએ. જો બાળક ગુમસુમ રહેતું હોય કે અભ્યાસના કારણે સતત ચિંતિત હોય, તો તેની સાથે સંવાદ સાધવો અનિવાર્ય છે. નાની ઉંમરે બાળકો જે રીતે આત્મઘાતી પગલાં ભરી રહ્યા છે, તે સમાજ માટે ચેતવણીરૂપ છે. ભેસાણ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:34 pm

બંધ પોલિસી ચાલુ કરાવવાના બહાને ઠગાઈ:નરોડાના વેપારી પાસેથી ત્રણ વર્ષ સુધી પ્રીમિયમના બહાને 219 ટ્રાન્જેક્શન કરી 23 લાખ પડાવ્યા

અમદાવાદના વેપારીને સાઇબર ગઠિયાઓએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપીને બંધ થયેલી પોલિસી ચાલુ કરાવવા અને ખૂબ જ મોટો ફાયદો થશે તેવી લાલચ આપી હતી. ગઠિયાઓએ વેપારી પાસેથી ત્રણ વર્ષ સુધી ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. કોરોનામાં પ્રિમીયમ ના ભરતા પોલિસી બંધ થઈ હતીનરોડામાં રહેતા અમરસિંહ વાઘેલા નરોડા જીઆઇડીસીમાં ગ્રાઇન્ડીંગ પોલીસ કરવાનો વેપાર કરે છે. તેમણે વર્ષ 2019માં એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ નામની કંપનીની હેલ્થ વીમા પોલિસી લીધી હતી. વર્ષ 2020-21માં કોરોના લોકડાઉનના કારણે વાર્ષિક પ્રીમિયમ ભર્યું નહોતું. જેથી 2022ના ઓગસ્ટ મહિનામાં તેમના પર હિમાંશુ રાજપૂત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો.જેણે પોતાની ઓળખ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેને આપી હતી અને જણાવ્યું હતું કે તમારી પોલિસીનું પ્રીમિયમ ભર્યું ન હોવાથી પોલીસી બંધ થઈ ગઈ છે. તમે પોલિસી ફરી ચાલુ કરવા માંગતા હોવ તો બે વર્ષનું પ્રીમિયમ 48,000 અને દંડ 8,000 એમ કુલ 56000 ભરવા પડશે. પ્રીમિયમ ભરશો તો 2025 સુધીમાં 10 લાખ રૂપિયા વળતર પેટે મળશેજો તમે આ પ્રીમિયમ ભરશો તો તમને 2025 સુધીમાં 10 લાખ રૂપિયાની વિમાની રકમ વળતર પેટે મળશે.અમરસિંહે વિશ્વાસ કરીને પોલિસી ભરવાની તૈયારી દર્શાવી હતી.જેથી ફોન કરનાર વ્યક્તિએ તેનો યુપીઆઈડી મોકલ્યો હતો. શરૂઆતમાં 1 રૂપિયો ટ્રાન્સફર કરવા કહ્યું જે બાદ 56,000 ટ્રાન્સફર કરવા કહ્યું હતું.અમરસિંહે 56,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પ્રીમિયમના નામે અલગ અલગ 219 ટ્રાન્જેક્શન દ્વારા 23.08 લાખ રૂપિયા પડાવ્યાફોન કરનાર વ્યક્તિએ અન્ય ત્રણ લોકોના કંપનીના અધિકારી હોવાનું કહીને નંબર અને યુપીઆઈડી આપ્યા હતા.જેમાં શરૂઆતમાં એક - એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.જે બાદ અલગ અલગ ઓફરના નામે ઓગસ્ટ 2022થી જુલાઈ 2025 સુધીમાં પોલિસીના પ્રીમિયમના નામે અલગ અલગ 219 ટ્રાન્જેક્શન દ્વારા 23.08 લાખ રૂપિયા પડાવ્યા હતા.આ પૈસા લીધા બાદ પોલિસીના કોઈ લાભ કે પૈસા પરત આપ્યા નહોતા.પ્રીમિયમ ભર્યાની કોઈ રીસીપ્ટ પણ આપી ન હતી.જેથી અમરસિંહને તેમના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી.આ અંગે તેમણે સાઇબર ક્રાઇમમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:29 pm

દમણમાં નાતાલ પૂર્વે ક્રિશ્ચિયન કોમ્યુનિટીની રેલી:શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી રેલીમાં પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો

દમણ શહેરમાં નાતાલ પર્વના આગમન પૂર્વે ક્રિશ્ચિયન કોમ્યુનિટી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો હતો. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં ખ્રિસ્તી સમાજના મોટી સંખ્યામાં સભ્યો, યુવાનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલીમાં ભાગ લેનારાઓએ નાતાલના પવિત્ર સંદેશાઓ, પ્રાર્થનાઓ અને ભક્તિગીતો ગાઈને વાતાવરણને આનંદમય બનાવ્યું હતું. આયોજકોએ નાતાલ પર્વની મહત્તા સમજાવી હતી અને સમાજમાં સૌહાર્દ તથા એકતાનો ભાવ વિકસે તે માટે અપીલ કરી હતી. સ્થાનિક નાગરિકોએ પણ આ રેલીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:27 pm

ગ્રામજનોએ દારૂબંધીના ચુસ્ત પાલનનો શૂર રેલાવ્યો:દારૂબંધી સમિતિની રચના; 1 PSI, 4 પોલીસ સ્ટાફ સાથે મગુના આઉટ પોસ્ટ ચોકી કાર્યરત કરાઈ

મહેસાણાના મગુના ગામે રાજકીય ઉહાપોહ થતા દારૂબંધી મામલે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે સ્થાનિક પોલીસ દ્વારા દારૂબંધી મામલે ગ્રામજનો સમક્ષ જ કાર્યવાહી અંગેની વ્યૂહરચના કરતા દારુબંધીના શૂરમાં ગ્રામજનોએ પણ પોલીસ સાથે શૂર પુરાવતા દારૂબંધી સમિતિની રચના કરાઈ હતી અને લાંબા સમયથી બંધ રહેલા મગુના આઉટ પોસ્ટને પુનઃ શરૂ કરવામાં આવી હતી. બુટલેગરો સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માગમહેસાણાના સાથલ પોલીસ મથકની હદમાં બુટલેગરો સામે કાર્યવાહી કરવા અંગે સ્થાનિકોમાં બૂમ ઉઠવા પામી હતી.ત્યાં રાજકીય પરિબળોએ પણ આ મુદ્દાને વગે આપ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ સામે સઘન કાર્યવાહી કરવાની તૈયારી સાથે ગ્રામજનો સાથે રાત્રી બેઠક યોજવામાં આવી હતી. PSI, હોમગાર્ડ સહિત 4 કર્મીના સ્ટાફ સાથે મગુના આઉટ પોસ્ટ શરૂઆ બેઠકમાં સાંથલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.વરચંદ દ્વારા મગુના ઓ.પી.ની ટીમ સાથે હાજરી આપી ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.જે બાદ PIએ ગામમાં અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે ગ્રામજનો સાથે દારૂબંધી સમિતિની રચના કરી હતી. તો તેમની માગ મુજબ 1 PSI અને હોમગાર્ડ સહિત 4 પોલીસ કર્મીઓના સ્ટાફ સાથે મગુના આઉટ પોસ્ટ શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા મળતી રજૂઆતો ધ્યાને લઈ જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ સામે આવે ત્યાં તુરંત કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:12 pm

દારૂના ધંધાને લઈ ઉનાના MLA પર આક્ષેપ કરનારા આરોપીનું મોત:જૂનાગઢ જેલમાં બંધ ગુજસીટોકના આરોપી ભગા ઉકા જાદવને હાર્ટ એટેક આવ્યો, સિવિલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો

જૂનાગઢ જેલમાં ગંભીર ગુના હેઠળ બંધ અને દારૂના ધંધાને લઈ ઉનાના MLA કે.સી. રાઠોડ પર આક્ષેપ કરનારા આરોપીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા જેલ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉના પંથકનો કુખ્યાત બુટલેગર અને ગુજસીટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહેલા ભગા ઉકા જાદવને મધરાતે હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. ​આ મામલે જૂનાગઢ જેલ અધિક્ષક ડી. એમ. ગોહિલે જણાવ્યું હતું કે સવારના આશરે દસ વાગ્યાની આસપાસ ભગા ઉકા જાદવને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. કેદીની તબિયત લથડતા જેલના તબીબો અને સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય પર દારૂના ધંધામાં ભાગીદારીના આક્ષેપ કર્યા હતામૃતક ભગા જાદવ છેલ્લા કેટલાક સમયથી તેના એક વિવાદાસ્પદ પત્રને કારણે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. થોડા દિવસો પહેલા જ તેણે જેલમાંથી ઉનાના ધારાસભ્ય કાળુ ચનાભાઈ રાઠોડ (કે.સી. રાઠોડ)ને સંબોધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ કરતા લખ્યું હતું કે, તેઓ દારૂના ગેરકાયદેસર ધંધામાં તેના બરાબરના ભાગીદાર હતા. પત્રમાં દાવો કરાયો હતો કે ધારાસભ્યના કહેવાથી અને તેમના વિશ્વાસ પર જ તેણે દારૂનો મોટો કારોબાર કર્યો હતો. આ પત્રથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો અને જેલ તંત્રએ પણ તપાસ શરૂ કરી હતી. ​લેટરમાં હતો લાખો રૂપિયાનો હિસાબ અને ભાગીદારીનો ઉલ્લેખભગા જાદવે પત્રમાં સ્પષ્ટતા કરી હતી કે, સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા ગીર ગઢડાના બેડીયા ગામે જે દારૂની રેડ પાડવામાં આવી હતી, તે ધંધામાં ધારાસભ્ય સહિત અન્ય સાથીદારો પણ સંડોવાયેલા હતા. તેણે લખ્યું હતું કે દમણથી મંગાવેલા દારૂના ધંધાના આશરે 29 લાખ રૂપિયાનો હિસાબ ધારાસભ્ય સાથે કરવાનો બાકી છે. પત્રમાં તેણે એવી પણ બાંયધરી આપી હતી કે જ્યારે તે જામીન પર છૂટશે ત્યારે પોતે અન્ય ભાગીદારો સાથે મળીને ધારાસભ્યને તમામ હિસાબ પરત આપી દેશે. ​કોણ હતો ભગા ઉકા જાદવ ?મૃતક ભગા ઉકા જાદવ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનો વતની હતો. તેની સામે અનેક ગુનાહિત ઈતિહાસ હોવાથી પોલીસે તેની સામે ગુજસીટોક (GujCTOC) હેઠળ કાર્યવાહી કરી હતી. તે ગત 10 જુલાઈ 2025 થી આ ગંભીર ગુના હેઠળ જૂનાગઢ જેલમાં બંધ હતો. પ્રોટોકોલ મુજબ, કસ્ટડીમાં કેદીનું મોત થતા હવે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:04 pm

બનાસ બેંકના ચેરમેનને 'બેસ્ટ ચેરમેન'નો રાષ્ટ્રીય એવોર્ડ:સહકારી બેંકિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરાયા

બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતરને સહકારી બેંકિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ 'બેસ્ટ ચેરમેન એવોર્ડ ફોર કો-ઓપરેટિવ બેંક ડેવલોપમેન્ટ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાયું હતું. આ એવોર્ડ ચેરમેનના સફળ નેતૃત્વ, નિષ્ઠાપૂર્વક સેવા, નાણાકીય શિસ્ત અને નવીન અભિગમનું પ્રતિબિંબ છે. તેમના માર્ગદર્શન હેઠળ બનાસ બેંકે વિશ્વસનીયતા, પારદર્શિતા અને સેવા ગુણવત્તામાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણી બેંક - બનાસ બેંક તરીકે લોકપ્રિય બનેલી બનાસકાંઠા જિલ્લાની આ સૌથી મોટી સહકારી બેંક 'સહકારથી સમૃદ્ધિ'ના સિદ્ધાંત સાથે કાર્યરત છે. બેંક ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને વિશ્વસનીય, પારદર્શક અને આધુનિક બેંકિંગ સેવાઓ પૂરી પાડી રહી છે. બનાસ બેંક ઉત્તર ગુજરાતમાં સહકારી માળખામાં મહત્વનું પ્રભુત્વ ધરાવે છે. ડિજિટલ બેંકિંગ સુવિધાઓ, સરળ લોન વ્યવસ્થા અને ખેડૂતલક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપીને બેંક જિલ્લાના આર્થિક તથા સામાજિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. આ સન્માન બદલ બનાસ બેંકના ડિરેક્ટર મંડળ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તમામ સભાસદોએ ચેરમેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં પણ બેંક સહકારી ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 1:04 pm

2026ની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના:ગુજરાતમાં અત્યારે ઠંડી ન પડવાનું કારણ લા નીનો અને અલ નીનો, નલિયા-અમરેલીમાં પારો 12 ડિગ્રીએ પહોંચ્યો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. ત્યાર બાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયા અને અમરેલીમાં નોંધાયું હતું. બન્ને શહેરમાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં અગાઉ 14.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાત્રે 2.6 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 'ભેજ, ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી અનુભવાઈ રહી છે'હવામાન નિષ્ણાત અને નિવૃત્ત હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.ટી. દેસાઈએ ગુજરાતમાં જોઈએ તેવી ઠંડી ન પડવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, લા નીનો અને અલ નીનોની અસરને કારણે વાતાવરણમાં ફેરફાર થાય છે. લા નીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ 9 નંબર આપણી બાજુ હોવાથી અસર થઈ રહી છે. 24 ડિસેમ્બર બાદ તે હિંદ મહાસાગર તરફ જશે. ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે. ગયા વર્ષ કરતા આ વખતે તાપમાન વધારે અનુભવાઈ રહ્યું છે. હાલમાં ભેજ, ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી અનુભવાઈ રહી છે. ઉત્તરના પવનો રોકાવાથી ઠંડીની અસર ઓછી થાય છે. ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે. પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે. 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 12:55 pm

રાજકોટની સંકલ્પસિદ્ધ મંડળીના ચેરમેન સહિત બે સામે ફરિયાદ દાખલ:શાકભાજીના ધંધાર્થી અને તેના પરિવારની ફિક્સ ડિપોઝિટના મળી રૂ.3.12 લાખ પરત નહીં છેતરપિંડી આચરી

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સંકલ્પસિધ્ધ ક્રેડિટ કો.ઓ.સોસાયટીમાં મુકેલાં ફીક્સ ડીપોઝીટનાં રૂ.3.10 લાખ અને ડેઈલી બચનાં રૂ.2000 મળી કુલ રૂ.3.12 લાખ પરત નહિ આપતાં મંડળીનાં અંસુમન મુકુંદભાઈ દવે અને જીતેન્દ્રસિંહ જાડેજા સામે રોકાણકાર ધીરૂભાઈ જખાનીયા (ઉ.વ.40)એ ગાંધીગ્રામ-2 યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 420, 34 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પત્ની અને પુત્રનું બચત ખાતું 2018માં ખોલાવ્યું હતું શાકભાજીનો ધંધો કરતાં ધીરૂભાઈએ પોલીસને જણાવ્યું હતું કે મંડળીમાં ડેઇલી બચત ડીપોઝીટ કલેક્શનનું કામ કરતાં આરોપી જીતેન્દ્રસિંહે તેને વિશિષ્ટ થાપણ યોજનામાં રૂ.10 હજાર જમાં કરાવવા અને ડ્રો થયા બાદ રૂ.20 હજાર મળશે કહી 10 હજાર જમા કરાવ્યા હતા જેની સામે એફ.ડી.નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જ્યારે ડોક્યુમેન્ટનાં આધારે તેનું, તેના પત્ની અને પુત્રનું બચત ખાતું 2018માં ખોલાવ્યું હતું. જેમા દરરોજ રૂ.100 લેખે જમા કરાવવાનું શરૂ કર્યુ હતું. અને બે વર્ષ સુધી રકમ જમા કરાવતાં એ સમયે તેને સમયસર વ્યાજ પણ ચુકવવામાં આવતું હતુ. એટલું જ નહીં મુદત પુરી થતાં રકમ વ્યાજ સહિત આપી હતી. બીજા દીવસે જતાં મંડળીને તાળા મારેલા હતાં ત્યારબાદ આરોપીએ ફિક્સમાં રૂપિયા મુકવાનું કહેતાં તેના નામે એક લાખ તેના પત્નીનાં નામે બે લાખ અને પુત્રનાં નામે 10 હજાર જમાં કરાવ્યા હતા. એટલું જ નહીં તેની પત્નીના બચત ખાતામાં 200 લેખે 10 દિવસમાં બે હજાર જમા કરાવ્યા હતાં. કોરોના સમયે આરોપી દૈનિક બચતનાં રૂપિયા લેવા આવતો બંધ થઈ ગયો હતો. તેથી તે પરિવારજનો સાથે મંડળીએ ગયા હતાં જ્યાં ચેરમેન અંસુમાન દવે હાજર હતા તેને વાત કરી રોકાણનાં પૈસા પરત માંગતા તેણે બીજા દીવસે બોલાવ્યા હતા. બીજા દીવસે જતાં મંડળીને તાળા મારેલા હતાં. ખોટા વાયદાઓ આપી રૂપિયા પરત ન આપતા ફરિયાદ નોંધાઈ આરોપી અંસુમનનો ફોન બંધ આવતો હોવાથી આરોપી જીતેન્દ્રને ફોન કર્યો હતો. થોડા સમય બાદ જીતેન્દ્રસિંહે તેને વાત કરી હતી કે મંડળી ઉઠી ગઈ છે. તમારી બચતબુક આપો અંસુમન પર પોલીસ કેસ કરવો છે તેમ કહેતાં તેને નકલ આપી હતી. બાદમાં તે મંડળીના અન્ય રોકાણકારો સાથે બહુમાળી ભવનમાં રજુઆત કરતાં આરોપી અંસુમન વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે તે હાલ જેલમાં છે તેમ જવાબ આપ્યો હતો. ત્યારે જીતેન્દ્રસિંહે અંસુમન જેલમાંથી છુટવાનો છે તે આવશે એટલે પૈસા આપી દેશે કહી ખોટા વાયદાઓ આપી રૂપિયા પરત ન આપતા આખર કંટાળી શાકભાજીના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 12:46 pm

કોલ્ડપ્લે પછી હવે શકીરાનો વારો?:ગુજરાત 'પોપ ક્વીન'નું સ્વાગત કરવા આતુર, 2026માં 'વાકા વાકા' પર અમદાવાદીઓને ડોલાવે તેવી શક્યતા

જો તમે 'Waka Waka' અથવા 'Hips Don’t Lie' જેવા સોંગ્સના ગાંડા ફેન છો, તો તમારા માટે ખૂબ જ મોટા સમાચાર છે. વર્લ્ડની ટૉપ પોપ સિંગર શકીરા અમદાવાદમાં પોતાના કોન્સર્ટનું પ્લાનિંગ કરી રહી છે. કોલ્ડપ્લેના સુપરહિટ શો પછી હવે શકીરા પણ પોતાના કોન્સર્ટ માટે ભારતના અમદાવાદને પસંદ કરી રહી છે. આ વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્રિટિશ રોક બેન્ડ 'કોલ્ડપ્લે' (Coldplay)ના બે સુપરહિટ શો યોજાયા હતા. આ શોની સફળતા જોઈને હવે શકીરાની મેનેજમેન્ટ ટીમે પણ ગુજરાત સરકાર સાથે રસ દાખવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શકીરાની ટીમ ઇચ્છે છે કે તેઓ 2026માં અમદાવાદમાં એક મેગા કોન્સર્ટ કરે. એક અધિકૃત સૂત્રએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર આ બાબતમાં દરેક શક્ય મદદ આપવા માટે તૈયાર છે. જોકે, અંતિમ નિર્ણય શકીરાની ટીમે જ લેવાનો છે, પરંતુ તેમની શરૂઆતની પ્રતિક્રિયા ઘણી હકારાત્મક રહી છે. શકીરા અમદાવાદમાં જ કેમ પરફોર્મ કરી શકે છે? શકીરા અમદાવાદને ત્રણ કારણોસર સિલેક્ટ કરી રહી છે. એક તો સ્ટેડિયમની કેપેસીટી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જ્યાં એકસાથે લાખો ફેન્સ બેસી શકે છે. બીજું, ગુજરાત સરકાર ઈન્ટરનેશનલ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે સુરક્ષા અને લોજિસ્ટિક્સમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. ત્રીજું, હવે બુલેટ ટ્રેન અને વધુ સારી ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સને કારણે ટિયર-2 શહેરોમાંથી પણ લોકો સરળતાથી અહીં પહોંચી શકે છે. આસામ પણ કરી રહ્યું હતું શકીરાને લાવવાની તૈયારી શકીરાને ભારત લાવવાની રેસમાં માત્ર ગુજરાત જ નથી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ જાહેરાત કરી છે કે તેઓ શકીરાને ગુવાહાટી અથવા દિબ્રુગઢ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે ભારતના અલગ-અલગ રાજ્યો હવે ગ્લોબલ ઈવેન્ટ્સ માટે અંદરોઅંદર સ્પર્ધા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શકીરા એક કોલમ્બિયન સિંગર છે જેણે 4 ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે અને 'વાકા વાકા' (2010 FIFA વર્લ્ડ કપ) જેવા આઈકોનિક સોંગ્સ આપ્યા છે. તેને વિશ્વભરમાં સ્પેનિશ અને ઇંગ્લિશ મ્યુઝિકને પ્રખ્યાત કરવાનો શ્રેય આપવામાં આવે છે. જોકે આ મામલે હજુ સુધી શકીરા તરફથી કોઈ ઓફિશિયલ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમની ટીમે માત્ર ગુજરાત સરકાર સાથે ચર્ચા શરૂ કરી છે. આ તેના 'Las Mujeres Ya No Lloran World Tour'નો હિસ્સો હોઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 12:44 pm

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉમરગામ તાલુકા પંચાયતની જમીન માપણી:કોઈ વિવાદ ન સર્જાય તે માટે માજી પ્રમુખે બંદોબસ્તની માંગ કરી હતી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતની જમીનની સત્તાવાર માપણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી છે. કોઈ વિવાદ ન સર્જાય તે માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માજી તાલુકા પંચાયત પ્રમુખ અને વર્તમાન સભ્યની માંગણી બાદ આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. વર્ષો બાદ હાથ ધરાયેલી આ માપણી મુજબ, તાલુકા પંચાયત હસ્તક કુલ બે એકર નવ ગુંઠા જમીન હોવાનો દાવો કરાયો છે. આ માપણી દરમિયાન કોઈ અણબનાવ ન બને તે સુનિશ્ચિત કરવા પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. માજી તાલુકા પંચાયત પ્રમુખે આસપાસના લોકો દ્વારા જમીન પર દબાણ કરાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. તાલુકા પંચાયતને પોતાની જમીનની માપણી કરાવવાની ફરજ પડી હોવાથી, તાલુકામાં આવેલી અન્ય સરકારી જમીનો પરના દબાણ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 12:44 pm

પંચમહાલના શહેરામાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવો બનાવ:સ્કોર્પિયોએ ઈકો કારને ટક્કર મારી 30 ફૂટ ફંગોળી પલટાવી, ડીઝલ છાંટી સળગાવવાનો આરોપ, 5 સામે રાયોટિંગ અને એટ્રોસિટીની ફરિયાદ

પંચમહાલ જિલ્લાના શહેરામાં ફિલ્મી દ્રશ્યોને પણ ઝાંખા પાડી દે તેવી સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરાની જે.જી. હાઈસ્કૂલ પાસે જૂની અદાવતની રીસ રાખીને એક સ્કોર્પિયો ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી દીધી હતી. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ ઇકોમાં સવાર લોકો પર ડીઝલ છાંટી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે પાંચ શખ્સો સામે એટ્રોસિટી અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના શું હતી?મળતી વિગત મુજબ, ફરિયાદી જયદીપસિંહ અભેસિંહ બામણીયા (રહે. બોરીયાવી, તા. શહેરા) શહેરા પોલીસ સ્ટેશનમાં એક અરજીના કામે આવ્યા હતા. ત્યાંથી તેઓ પોતાની ઇકો કાર (નંબર GJ-15-CF-1631) લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શહેરા-લુણાવાડા હાઈવે પર જે.જી. હાઈસ્કૂલ નજીક સામેથી પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર (નંબર GJ-06-KP-7446)ના ચાલક મહેન્દ્ર ડાભીએ જાણી જોઈને ઇકો કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો કાર રોડ પર 30થી 40 ફૂટ જેટલી ફંગોળાઈને પલટી મારી ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. ડીઝલ છાંટી હત્યાનો પ્રયાસઅકસ્માત સર્જાયા બાદ મુખ્ય આરોપી મહેન્દ્ર ડાભી પ્લાસ્ટિકના કેરબામાં ડીઝલ લઈને ધસી આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અન્ય આરોપીઓની ઉશ્કેરણીથી મહેન્દ્રે ફરિયાદી અને સાહેદો પર ડીઝલ છાંટ્યું હતું. હુમલાખોરોએ જાતિવિષયક અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી અને તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યોશહેરા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે: કોની સામે ફરિયાદ નોંધાઈ

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 12:34 pm

અમરોલીમાં કોલેજ બહાર અસમાજિક તત્વોની દાદાગીરી, CCTV:પોલીસ જેવો ડંડો લઈ બે વિદ્યાર્થીને તમાચા માર્યા, એકને બોચી પકડી ફેંક્યો, પોલીસે પકડતા કાન પકડી માફી માંગી

સુરતના શૈક્ષણિક ધામ ગણાતા અમરોલી વિસ્તારની એક કોલેજ બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને વિદ્યાર્થીઓ પર રોફ જમાવતા લુખ્ખા બે તત્વોનો વીડિયો વાઇરલ થયા બાદ અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. માત્ર એટલું જ નહીં, બન્નેને કાન પકડાવીને માફી મગાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, અમરોલી કોલેજ બહાર વિદ્યાર્થીઓ શાંતિથી ઉભા હતા. તે સમયે એક બાઈક પર બે યુવક ધસી આવ્યા હતા. આ અસામાજિક તત્વો પૈકી એકના હાથમાં પોલીસ જેવો દેખાતો ડંડો હતો. કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના, આ શખ્સોએ કોલેજ બહાર બેસેલા વિદ્યાર્થીઓ પર દાદાગીરી શરૂ કરી દીધી હતી. બે વિદ્યાર્થીને તમાચા મારી દીધાહાથમાં દંડો લઈને આવેલા યુવકે ત્યાં ઉભેલા બે નિર્દોષ વિદ્યાર્થીઓને તમાચા મારી દીધા હતા. એટલું જ નહીં, રોફ જમાવવાના નશામાં હોય તેમ એક વિદ્યાર્થીની તો બોચી પકડીને નીચે ફેંકી દીધો હતો. બાઈક પર બેસેલા વિદ્યાર્થીઓને પણ ડરાવી-ધમકાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. CCTV ફૂટેજે પોલ ખોલીદાદાગીરીની આ સમગ્ર ઘટના કોલેજની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે કેવી રીતે કોઈ પણ વાંક ગુના વગર વિદ્યાર્થીઓને માર મારી ધમકાવવામાં આવી રહ્યા હતા. આ CCTV ફૂટેજ ગણતરીના સમયમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં અને વિદ્યાર્થી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ સ્ટેશને લાવતા કોલેજ બહાર 'હીરો' બનીે ફરતા યુવકનો નશો ઉતર્યોવીડિયો વાઇરલ થતાં જ અમરોલી પોલીસ તુરંત હરકતમાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકોમાં જ પોલીસ જેવો ડંડો રાખીને ફરતા અને દાદાગીરી કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ સ્ટેશન આવતાની સાથે જ કોલેજ બહાર 'હીરો' બનીને ફરતા યુવકનો નશો ઉતરી ગયો હતો. કાયદાનો પાઠ ભણાવતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી, જેને પગલે આરોપીએ જાહેરમાં પોતાના બંને કાન પકડીને માફી માંગી હતી. તેણે કબૂલાત કરી હતી કે તેની ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યમાં આવી હરકત ક્યારેય નહીં કરે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 12:22 pm

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું સ્નેહમિલન ગાંધીનગરમાં યોજાયું:ડૉ. અશ્વિન ત્રિવેદીના વડપણ હેઠળ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્યકક્ષાના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ ડૉ. અશ્વિન ત્રિવેદીના વડપણ હેઠળ સંપન્ન થયો. ડૉ. આંબેડકર હોલ ખાતે આયોજિત આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૌ ભક્ત કાલિદાસ બાપુ, સમસ્ત બ્રહ્મ સમાજ સેક્ટર-૧૬ના પૂર્વ પ્રમુખ અને ગાંધીનગર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર નરેશ દવે, મહાનગર ભાજપના પ્રમુખ આશિષ દવે અને મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મહિલા પ્રમુખ છાયાબહેન ત્રિવેદી, યુવા કન્વીનર પાર્થ રાવલ, કોર્પોરેટર હેમાબહેન ભટ્ટ તેમજ બ્રહ્મ અગ્રણીઓ વાસુદેવ ત્રિવેદી, રાકેશ જાની, મનોજ જોશી અને અક્ષય જાની પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિક જાની, ડૉ. તુષાર જાની, રવિન્દ્રરાય વ્યાસ અને સ્મિત વ્યાસ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 12:19 pm

દહેજ PCPIR ઝોનમાં ગેરકાયદે માટી ખોદકામ:ખેડૂતોમાં આક્રોશ, ભૂમાફિયા સામે આક્ષેપ કરી કલેક્ટરને રજૂઆત કરી

ભરૂચ જિલ્લાના દહેજ PCPIR ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે સ્થાનિક ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે અને તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે. ખેડૂત મગનલાલ વસાવાના જણાવ્યા અનુસાર, સર્વે નંબર 465 ની તેમની માલિકીની 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે. દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના આશરે 15 થી 20 ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતીલાયક બનાવી દીધી છે. ખેડૂતોનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. આ ખોદકામ માટે PCPIR ઝોન કે સરકારી પટ્ટાની જમીનમાં જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. આસપાસની અન્ય ઘણી જમીનોમાં પણ આ જ રીતે ગેરકાયદેસર ખોદકામ થયું હોવાના આક્ષેપો છે. આ ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર પર પણ ગંભીર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસ કરવા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવું રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવા પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:57 am

ડેલીની સામે જ ડાલામથ્થાએ શિકારની મીજબાની માણી:ધરાનગરમાં મધરાતે સિંહે ગાયનો શિકાર કર્યો, લોહીના ખાબોચિયા જોઈ મકાન માલિક ધ્રુજી ઉઠ્યા; CCTV આવ્યા સામે

જૂનાગઢના ગિરનાર જંગલને અડીને આવેલા ધરાનગર વિસ્તારમાં વનરાજે મધરાતે પગરવ કરી આતંક મચાવ્યો હતો. જંગલમાંથી શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા સિંહે એક મકાનની ડેલી પાસે જ બાંધેલી ગાય પર તરાપ મારી તેનું મારણ કર્યું હતું. સવારે જ્યારે મકાન માલિકે બહાર આવીને જોયું ત્યારે રોડ પર લોહીના ખાબોચિયા ભરાયેલા હતા, જે દ્રશ્ય જોઈને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. CCTVમાં કેદ થયો સિંહનો શિકાર આ સમગ્ર ઘટના મકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહ નિર્ભય બનીને ગાયનો શિકાર કરી ત્યાં જ મિજબાની માણી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજ વિસ્તારમાં થોડા દિવસો પહેલા એકસાથે સાત સિંહોનું ટોળું આંટાફેરા કરતું હોવાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વારંવાર સિંહોની હાજરીના કારણે હવે સ્થાનિક રહીશો મૂડી રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ​ગિરનાર જંગલના સિંહો રહેણાંક વિસ્તાર તરફ શિકારની શોધમાં વર્ષ 2025ની સિંહ વસ્તી ગણતરીના આંકડા મુજબ, ગિરનાર જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા 54 થી વધુ નોંધાઈ છે. સંખ્યામાં થયેલા વધારા અને જંગલ નજીકના ખાણ વિસ્તારો તેમજ બિલખા રોડ પર વધતી અવરજવરને કારણે સિંહો હવે ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ વળી રહ્યા છે. ધરાનગર ગિરનારની તળેટી નજીક હોવાથી અહીં અવારનવાર હિંસક પ્રાણીઓના દર્શન થવા સામાન્ય બની ગયા છે. ​વન વિભાગે હાથ ધરી કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ગાયના માલિકે વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વન વિભાગે સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સાથે ગાયના માલિકને નિયમ મુજબ વળતર મળે તે દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ઘટના બાદ વન વિભાગે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:46 am

સાસરીયાઓએ જમાઈ અને વેવાઈ પક્ષ પર હુમલો કરી પુત્રીનું અપહરણ:મારી પત્નીના ફુવાએ ધમકી આપતા કહ્યું હતું કે...આ તો તમારો જમણવાર હતો, હવે જો સામે જોશો તો જાનથી મારી નાખીશું

ભાવનગરના ઇસ્કોન મેગાસીટી વિસ્તારમાં પ્રેમલગ્નથી નારાજ સાસરીયાઓએ દીકરી અને જમાઈને જમવા તેડાવી, કાવતરું રચી સાત શખ્સોએ જમાઈ, તેના માતા અને પિતાને પાઈપ તથા ઢીકાપાટુ વડે માર માર્યો હતો તથા મારી પત્નીના માસા તથા તેના મામા બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકે નોંધાવી હતી, ​શું છે સમગ્ર મામલો? આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી મળતી માહિતી ​બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામે રહેતા યશ હિતેશભાઈ ઉપાધ્યાય ઉ.વ.24 એ ભાવનગરની પિયા મોરડીયા સાથે ગત 23 નવેમ્બરના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન પિયાના પિતા પર્વતભાઈ ખોડાભાઈ મોરડીયાને પસંદ ન હતા. જોકે, સમાધાનના બહાને પર્વતભાઈએ યશ અને તેના પરિવારને ફોન કરીને ભાવનગર જમવા માટે આમંત્રણ આપ્યું હતું. ​જમવા તેડાવીને હુમલો કર્યો ​ગઈકાલે તા.23/12/2025 ના રોજ બપોરે યશ, તેમના પત્ની પિયા, પિતા હિતેશભાઈ અને માતા માયાબેન ભાવનગર ખાતે સસરાના ઘરે ગયા હતા. ત્યાં હાજર પિયાના પિતા, માસા હિતેશભાઈ મોરડીયા, ફુઆ, મામા અને અન્ય અજાણ્યા માણસોએ દરવાજા બંધ કરી દીધા હતા. પિયાને ત્યાં રોકાઈ જવા દબાણ કર્યું હતું, પરંતુ તેણે ના પાડતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. ​પાઈપ વડે માર મારી પત્નીનું અપહરણ ​હુમલાખોરોએ યશ અને તેના માતા-પિતા પર પાઈપ અને ઢીકાપાટુ વડે આડેધડ હુમલો કર્યો હતો, આ હુમલામાં યશના માતાને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઝપાઝપી દરમિયાન માતાનું સોનાનું પેન્ડલ પણ ક્યાંક પડી ગયું હતું,​હદ તો ત્યારે થઈ જ્યારે પિયાના માસા અને મામા સહિતના શખ્સો પિયાને બળજબરીથી પકડીને ઘરની બહાર લઈ ગયા હતા અને નંબર પ્લેટ વગરની સફેદ સ્વીફ્ટ ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા, જતાં-જતાં ધમકી આપી હતી કે, આ તો તમારો જમણવાર હતો, હવે જો સામે જોશો તો જાનથી મારી નાખીશું. ​પોલીસ મથકે સાસરિયા પક્ષના સાત સામે ફરિયાદ નોંધાવી ​ઈજાગ્રસ્ત યશએ ભાવનગરના સર ટી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ સસરા પર્વતભાઈ મોરડીયા, હિતેશભાઈ મોરડીયા, મારી પત્નીના ફુવા, મારી પત્નીના મામા અને અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ મારપીટ, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:40 am

માણસા-બાલવા હાઈવે પર હિટ એન્ડ રન:કારની ટક્કરે બાઈક સવાર મહિલાનું મોત, પતિ-પુત્રીનો આબાદ બચાવ; સ્થળ પર પડેલી નંબર પ્લેટથી ચાલકની ઓળખ થઈ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામનો એક પરિવાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો છે. અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ અને 10 વર્ષની દીકરીનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ તેની ગાડીનું તૂટેલું બંપર અને નંબર પ્લેટ ઘટનાસ્થળે જ રહી જતાં કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ચરાડા ગામનો યુવક પત્ની સાથે સાસરીમાં ગયો હતોગાંધીનગરના ચરાડા ગામના અંબિકાનગરમાં રહેતા રાકેશકુમાર ઠાકોર તેમની પત્ની પિંકીબેન અને 10 વર્ષની દીકરી નિધિ સાથે સોમવાર સાંજે સાસરીમાં આમજા ગામે ગયા હતા. સાંજે આશરે પાંચ વાગ્યાના અરસામાં તેઓ બાઇક પર પરત ઘરે જઈ રહ્યા હતા. બાઇકને પાછળથી ફોર વ્હીલરે ટક્કર મારીઆ દરમિયાન આમજા વળાંક અને બાલવા ચોકડીની વચ્ચે હાઈવે રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ફોર વ્હીલર ગાડીએ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે પિંકીબેન બાઇક પરથી ઉછળીને હાઈવે રોડ પર પટકાયા હતા. પત્નીનું મોત, પિતા-બાળકીનો બચાવઆ અકસ્માતમાં તેમને માથા તેમજ બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે રાકેશકુમાર અને તેમની દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત પિંકીબેનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ગાડીનું બંપર તૂટીને રસ્તા પર પડી ગયુંબનાવની જાણ થતા કલોલ તાલુકા પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જી ગાડીનો ચાલક પોતાની કાર લઈને ભાગી છૂટ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.જોકે ટક્કરને કારણે ગાડીનું બંપર તૂટીને રસ્તા પર જ પડી ગયું હતું, જેના પર ગાડીનો નંબર DL-3CBE-5637 (દિલ્હી પાસિંગ) લખેલો હતો. પોલીસે આ નંબર પ્લેટના આધારે ગુનો નોધી અજાણ્યા કાર ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:37 am

જામનગરમાં વીર બાળ દિવસની ઉજવણી:સાહિબઝાદાના બલિદાનને શ્રદ્ધાંજલિ, સાંસદ પૂનમબેન માડમે સાત દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાયઓવર બ્રિજ નીચે 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાહિબઝાદાના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અનુસાર, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો – સાહિબઝાદા જોરાવરસિંઘજી અને ફતેહસિંઘજીના શહાદત દિવસને 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે, જામનગર ગુરુદ્વારાની બાજુમાં આવેલા નવા ફલાયઓવર બ્રિજ નીચે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે 28 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમનો શુભારંભ જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો. શૌર્યગાથાને લોકો સુધી પહોંચાડવા માટે મોટી સ્ક્રીન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહજીના ચાર સાહિબઝાદાઓના કટ-આઉટ સાથેનો એક સેલ્ફી પોઇન્ટ પણ તૈયાર કરાયો છે. આ સાત દિવસીય કાર્યક્રમ રાત્રિના 7:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. ગત રાત્રે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશ કગથરા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, એડવોકેટ બીમલભાઈ ચોટાઈ, હિન્દુ વક્તા કાજલ હિન્દુસ્તાની, વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ હિંમતસિંહ જાડેજા, સુબ્રમણ્યમભાઈ પિલ્લાઈ, હિન્દુ જાગરણ મંચના ભરતભાઈ ફલીયા, વ્રજલાલભાઈ પાઠક, ગુરુદ્વારા કમિટીના સભ્યો અને શીખ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ હાજર રહી સાહિબઝાદાઓના બલિદાનને યાદ કર્યા હતા. આ સાત દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ્ય જામનગરની જનતા સાહિબઝાદાઓના અપ્રતિમ બલિદાનની ગાથાને જાણી શકે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે તે છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:33 am

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કન્ટેનર ટ્રકનું ટાયર ફાટ્યું:પુલ સાથે અથડાતા અકસ્માત, મોટી દુર્ઘટના ટળી

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર માલિશ્રી નદીના પુલ પર એક કન્ટેનર ટ્રકનું આગળનું ટાયર અચાનક ફાટતા અકસ્માત સર્જાયો હતો. ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પુલ સાથે અથડાયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જોકે, અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ આ જ રોડ પર બ્લોક ભરેલા એક ટ્રકમાંથી બ્લોક પડવાના કારણે એક ટુ-વ્હીલર ચાલકનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:07 am

ડીમાર્ટમાંથી ખરીદી કરીને ઘરે જતા દંપતીને ટ્રકે ઉછાળ્યું:પતિની નજર સામે જ પત્નીનું મોત, દમણના સોમનાથ વિસ્તારની ઘટના

દમણના સોમનાથ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ સર્કલ પાસે ગત રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડીમાર્ટમાંથી ખરીદી કરીને પરત ફરી રહેલા દંપતીની બાઈકને એક ટ્રકે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પતિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પતિ-પત્ની મોડી સાંજે ખરીદી કરવા ગયા હતાપ્રાપ્ત માહિતી અનુસાર, દમણના કચીગામ રોડ પર આવેલા નેનો એપાર્ટમેન્ટમાં રહેતા ઉદયરામ કનોજિયા અને તેમની પત્ની આરતીબેન કનોજિયા (ઉંમર 34) ડીમાર્ટમાં ખરીદી કરવા ગયા હતા. મોડી રાત્રે ખરીદી પૂર્ણ કરીને તેઓ પોતાના બજાજ પલ્સર બાઈક (નં. GJ-15-BP-8979) પર પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા. આ સમયે મુખ્ય માર્ગ પર ચડતાં જ ટ્રક (નં. DD-03-U-9686) સાથે તેમની બાઈકની ટક્કર થઈ હતી. પત્નીનું મોત, પતિને ગંભીર ઇજાઓ પહોંચીઅકસ્માતમાં બાઈક પરથી પટકાયેલા દંપતી પૈકી આરતીબેન ટ્રકના વ્હીલ નીચે આવી જતાં ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પતિ ઉદયરામને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરીઅકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોના ટોળાને વિખેરી મૃતક મહિલાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આડેધડ પાર્કિના લીધે વારંવાર અકસ્માતની ઘટનાઓઉલ્લેખનીય છે કે, ડીમાર્ટ સર્કલ વિસ્તારમાં શોપિંગ મોલ હોવાને કારણે હંમેશા ભારે ટ્રાફિક રહે છે. ઘણા વાહનચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તા પર પાર્કિંગ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતો સર્જાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી છતાં પરિસ્થિતિમાં સુધારો ન થતાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:52 am

જામનગર જિલ્લાના વિવિધ સ્થળે ટીબી કાર્યક્રમો યોજાયા:વિદ્યાર્થીઓ-નર્સિંગ બહેનોને ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માર્ગદર્શન આપ્યું

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો ચેલાની મોતીબેન ખીમજી રામજી માલદે હાઇસ્કુલ અને અલીયાબાડાની ANM FHW ટ્રેનીંગ સ્કુલ ખાતે ટીબી રોગ અંગે માર્ગદર્શન અને પ્રશ્નોત્તરીના આયોજન સાથે થયા હતા. નિષ્ણાતો દ્વારા જણાવાયું હતું કે ક્ષય (ટીબી) એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે અને હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ખાંસી, ગળફામાં લોહી, ભૂખ ન લાગવી, વજન ઘટવો અથવા સાંજના સમયે ઝીણો તાવ આવવો જેવા લક્ષણો જણાય, તો તુરંત નજીકના સરકારી દવાખાને તપાસ કરાવવી જોઈએ. અહીં ટીબીનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. વધુમાં, સુપ્ત અને સક્રિય ટીબી વચ્ચેનો તફાવત સમજાવતા જણાવાયું હતું કે એચ.આય.વી.-એડ્સ, ડાયાબિટીસ, કુપોષણ અથવા કિડનીના રોગોથી પીડાતા અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ટીબી થવાનું જોખમ વધુ રહે છે. આ સાથે જ ધૂમ્રપાન અને માદક દ્રવ્યોના સેવનથી બચવા પણ અપીલ કરવામાં આવી હતી. સરકારની 'નીક્ષય પોષણ યોજના' હેઠળ દર્દીઓને મળતી સહાય વિશે પણ વિગતવાર માહિતી અપાઈ હતી. આ સમગ્ર અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુરા પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પી.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં જિલ્લા પી.પી.એમ. કોર્ડીનેટર ચિરાગ પરમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમોમાં ડો. ધીરેન પીઠડીયા, સુપરવાઈઝર પંડ્યાભાઈ, ઈરફાન શેખ અને વિજયભાઈએ મહત્વની સેવાઓ આપી હતી. ચેલા હાઇસ્કુલના પ્રિન્સીપાલ આર.કે. આણદાણી તેમજ અલીયાબાળા ટ્રેનીંગ સ્કુલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. જીત નાકર અને નર્સિંગ ટ્યુટર્સના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. અંતમાં યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટીબી મુક્ત ભારતના સંકલ્પને ટેકો જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:43 am

થાનગઢમાં ખાણ ખનીજ વિભાગનો દરોડો:5 લીઝ સીલ કરાઇ, હિટાચી મશીન સાથે 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત

ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના ખાખરાવાળી ગામમાં કોલસાની લીઝો પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રૂ. 1,36,40,000 નો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો હતો. સીઝ કરાયેલા મુદ્દામાલમાં એક હિટાચી મશીન, એક વજન કાંટો અને 600 મેટ્રિક ટન કોલસો શામેલ છે. સરકારી જોગવાઈઓનું પાલન ન થવાને કારણે કુલ પાંચ લીઝને પણ સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી, જેથી વધુ ખોદકામ અટકાવી શકાય. તપાસ કરાયેલી લીઝોમાં ખાખરાવાળી સર્વે નંબર 28/પૈકી (આશીક અહેમદભાઈ મુલતાની), 144/2 પૈકી (હસમુખભાઈ કલ્યાણજી સચદેવ), 52/6/3 પૈકી (ગભરુભાઈ વસ્તુભાઈ ખાચર), 24/1/1/1 પૈકી (વિજયભાઈ મહેન્દ્રભાઈ ખાચર) અને 38/1 પૈકી (મુમતાઝબેન મહમંદભાઈ કલાડીયા) નો સમાવેશ થાય છે. આ તમામ કોલસાની લીઝમાં સરકારના કોઈપણ નિયમો, પરિપત્રો, ઠરાવો કે કાયદાઓનું પાલન કરવામાં આવતું ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. તપાસણીમાં અનેક ક્ષતિઓ જોવા મળી હતી, જેમાં લીઝવાળી જગ્યામાં હદ નિશાનનો અભાવ, કોલસાના સ્ટોક અને વિસ્ફોટક પદાર્થો અંગેના રજીસ્ટરનો અભાવ, તેમજ અન્ય કોઈ રજીસ્ટરો કે હિસાબો ન નિભાવવા જેવી બાબતો મુખ્ય હતી. આ ઉપરાંત, મજૂરોની સુરક્ષા માટે કોઈ સુવિધાઓ નહોતી અને વાહનોની VTMS માં નોંધણી પણ કરાયેલી નહોતી. લીઝમાંથી કેટલો કોલસો કાઢવામાં આવ્યો છે કે કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરાયા છે તેનો પણ કોઈ રેકોર્ડ જાળવવામાં આવ્યો નહોતો. ખાણ ખનીજ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ ઓપન કટિંગવાળા સ્થળે પાણી ભરાયેલ હોવાથી બહાર પડેલા ખનિજના ઢગલાઓની અને મંજૂર થયેલ લીઝ વિસ્તારની માપણી પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:41 am

પાટણમાં સિંધી સમાજે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું:પારેવીયાવીર દાદા મંદિરે મહિલાઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અપાયું

પૂજ્ય સિંધી ઉત્તર પંચાયત પાટણ દ્વારા પારેવીયાવીર દાદા મંદિરના સાનિધ્યમાં એક ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજનું સ્નેહમિલન, ઇનામ વિતરણ અને પિકનિકનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું અને શિક્ષણ મેળવી રહેલી મહિલાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ માટે વિવિધ દાતાઓનો આર્થિક સહયોગ મળ્યો હતો. પ્રથમ ઇનામ ખેમચંદભાઈ આસનદાસ પોહાણી, બીજું ઇનામ નારાયણદાસ કુંદનમલ પોહાણી અને ત્રીજું ઇનામ કૃષ્ણકાંત દેવીદાસ લાજવાણી દ્વારા આપવામાં આવ્યું હતું. ઉચ્ચ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સિંધી ઉત્તર પંચાયત યુવા મહિલા મંડળ દ્વારા ઇનામો અપાયા હતા. આશ્વાસન ઇનામ માટે પૂનમબેન સુનિલભાઈ મિરચંદાણી અને રમત-ગમત ક્ષેત્રના ઇનામો માટે હરેશકુમાર જામનદાસ નારવાણીએ સહયોગ પૂરો પાડ્યો હતો. શિક્ષણ મેળવી રહેલી સમાજની મહિલાઓને પણ સન્માનિત કરવામાં આવી, જેથી અન્ય મહિલાઓ પણ શિક્ષણ તરફ પ્રેરિત થાય. આ કાર્યક્રમમાં ક્રિકેટ સહિતની વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં બાળકોથી લઈને વડીલો સુધીના સૌ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાજના તમામ પરિવારોએ સાથે મળી વિવિધ રમતો અને ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ અને સંચાલન રેખાબેન પોહાણી અને કિશોરભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખ ભરતભાઈ છુગાણી અને તેમની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતના તમામ કારોબારી સભ્યોએ હાજર રહીને સેવાઓ આપી હતી. અંતમાં, સમાજના તમામ પરિવારોએ સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:35 am

દાદાગીરી કરનાર 'દાદા'ઓની ચાલ બદલાઇ:વાપીમાં યુવકને મારમારીને અધમુવો કરનાર 6 પૈકી 2 આરોપીઓ ઝડપાયા, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામુ કર્યું

વાપી શહેરના ગીતાનગર વિસ્તારમાં એક યુવાન પર જૂથ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 'લાઈન' બાબતના વહેમને લઈને થયેલા આ હુમલામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વાપી ટાઉન પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરાવ્યું હતું. જીવલેણ હુમલો કરતા યુવકને ગંભીર ઇજાઓ થઇ હતીપોલીસ ફરિયાદ મુજબ, છ જેટલા લોકોએ લોખંડના પાઈપ, લાકડાના સ્ટમ્પ અને ચપ્પુ જેવા હથિયારો વડે યુવાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને માથા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હતી. 'તું લાલુભાઈની અન્ય કોઈને જાણકારી આપે છે' કહી મારમાર્યોફરિયાદી નિતીન ઉમેશભાઈ શુક્લા (ઉ.વ. 25), જે વાપી મેઈન બજારની શાકભાજી માર્કેટમાં નોકરી કરે છે, તેમણે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, 21 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે ગીતાનગર ખાતે લક્ષ્મી હોટલ તરફ જતા સમયે મોટા ગટરનાળા નજીક પેટ્રોલ ખૂટી જતા તેઓ ઊભા હતા. તે સમયે આરોપીઓ વિશાલ ઠાકુર, પિયુષ ઉર્ફે લક્કી ચોર, સોનુ યાદવ, હરિઓમ કશ્યપ, સાબુ યાદવ અને આયુષ ઉપાધ્યાય ત્યાં આવી 'તું લાલુભાઈની અન્ય કોઈને જાણકારી આપી તેની લાઈન કરે છે' તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. માફી મંગાવી તેનો વીડિયો પણ બનાવ્યો હતોવિવાદ વધતા વિશાલ ઠાકુરે લોખંડના પાઈપથી નિતીનના માથા પર હુમલો કર્યો હતો, જ્યારે પિયુષ ઉર્ફે લક્કીએ ચપ્પુ વડે ડાબા હાથમાં ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ મુક્કા-લાતનો માર માર્યો હતો. ત્યારબાદ લાલુ યાદવે લાકડાના સ્ટમ્પથી હાથ પર પ્રહાર કરી નિતીનને એક્ટિવા મોપેડ પર બેસાડી ખુલ્લા મેદાન તરફ લઈ જઈ ફરી માર માર્યો હતો. આરોપીઓએ નિતીનને પગે પડાવી માફી મંગાવડાવી તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને 'ફરી લાઈન કરીશ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામુ કર્યુંહુમલા બાદ લોહી વહી જતાં રાહદારીઓએ ફરિયાદીને જનસેવા હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સારવાર બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા બે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર ઘટનાક્રમની વિગતવાર નોંધ લીધી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:33 am

પોદાર જમ્બો કિડ્સ કસકમાં બાળકોએ ક્રિસમસ ઉજવી:શાળા પરિસરમાં વિવિધ શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન

ભરૂચના કસક વિસ્તારમાં આવેલા પોદાર જમ્બો કિડ્સ ખાતે ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. શાળા પરિસરમાં બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં પાસપોર્ટ સાથે દેશોનો પ્રવાસ જેવી શૈક્ષણિક પ્રવૃત્તિ, ટેટૂ સ્ટેશન, મનોરંજક રમતો, ફૂડ સ્ટોલ્સ અને પોપકોર્ન સાથે શોર્ટ ફિલ્મનો સમાવેશ થાય છે. ક્રિસમસ થીમ અનુસાર શાળા પરિસરને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. બાળકો અને તેમના માતા-પિતાએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળા સંચાલન દ્વારા જણાવાયું હતું કે આ ઉજવણી દ્વારા શાળાની આનંદમય શિક્ષણ પદ્ધતિ અને બાળકોના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રગટ થઈ છે. માતા-પિતાના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:05 am

વેરાવળ-સોમનાથમાં 4 મહિનામાં 1200થી વધુ ડોગ બાઈટ:શહેરમાં 8000થી વધુ કૂતરાં, પાલિકાતંત્રની કામગીરી પર સવાલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથ નગરમાં રખડતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં 1200થી વધુ નાગરિકોને કૂતરાં કરડ્યાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વેરાવળ સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. બી.પી. નારીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે માસમાં ડોગ બાઈટના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર માસમાં 204 કેસ, ઓક્ટોબર માસમાં 278 કેસ, નવેમ્બર માસમાં 421 કેસ અને ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં 304 કેસ નોંધાઈ ચૂક્યા છે. હોસ્પિટલમાં આવેલા મોડેલ એન્ટી રેબિઝ ક્લિનિક સેન્ટરમાં 24x7 ડોગ બાઈટના કેસોમાં સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં જરૂરી ઇન્જેક્શન સહિતનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ડો. નારીયાના જણાવ્યા મુજબ, કૂતરાઓની વસ્તી મોટા પ્રમાણમાં હોવાથી તેને નિયંત્રિત કરવી અનિવાર્ય છે. શહેરના મંદિરો, બજારો તેમજ અન્ય જાહેર સ્થળોએ કૂતરાંના ટોળાં જોવા મળતા નાગરિકો રાત-દિવસ ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ભયની લાગણી વધી છે. બીજી તરફ, શહેરમાં રખડતા કૂતરાના નિયંત્રણ માટે જવાબદાર પાલિકાતંત્રના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એનિમલ બર્થ કન્ટ્રોલ રૂલ્સ અનુસાર નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કાયદાકીય જોગવાઈ મુજબ કૂતરાને પકડી, તેનું ખસીકરણ કરી અને ફરી તેને એ જ સ્થળે મુક્ત કરવાનો હોય છે, કૂતરાઓને વિસ્થાપિત કરી શકાતા નથી. આ માટેની કાર્યવાહી ખૂબ જટિલ અને સમય માંગી લે તેવી છે. કૂતરાઓને પકડી તેનું ખસીકરણ કરવા માટે ત્રણ દિવસ સુધી રાખવાના હોય છે. આ માટે શેડ બનાવવા અને 100થી વધુ પાંજરા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે કૂતરા પકડવા માટે સરકારની SOP મુજબ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર બેઠકો અને નિવેદનો પૂરતી જ કામગીરી થતી હોવાનો લોકોમાં રોષ છે. કૂતરા પકડવા માટે એજન્સી નક્કી થઈ ગઈ છે, પરંતુ શેડ અને પિંજરાના અભાવે હાલ કૂતરા પકડવાની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે. પાલિકા દ્વારા કરાયેલા સર્વે મુજબ શહેરમાં 8000થી વધુ રખડતા કૂતરાં હોવાની માહિતી સામે આવી છે. તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:01 am

અમરેલીના પીઠવડીનાં સરપંચનું 'પાણીદાર' પગલું:એક જ ગામમાં 26 ચેકડેમ બનાવ્યા, પાણીના સ્તર ઊંચા આવતા ખેડૂતોને શિયાળુ-ઉનાળુ પાકમાં ફાયદો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના સરપંચે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમણે સરકારી યોજનાઓ હેઠળ પોતાના ગામમાં કુલ 26 નાના-મોટા ચેકડેમનું નિર્માણ કરાવ્યું છે. આ ચેકડેમો ચોમાસામાં થયેલા વરસાદના કારણે છલકાઈ ગયા છે, જેનાથી આસપાસના ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાક લેવામાં મોટો ફાયદો થશે. '20 ચેકડેમ વોટરશેડ યોજના હેઠળ બનાવ્યા'સરપંચ ભૌતિક સુહાગીયાના જણાવ્યા અનુસાર, આ 26 ચેકડેમમાંથી 20 વોટરશેડ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 6 ચેકડેમ ગ્રામ્ય કક્ષા નાણાપંચ અને તાલુકા કક્ષા નાણાપંચના ભંડોળમાંથી નિર્મિત થયા છે. આ ચેકડેમો ઉનાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા. 'આજુબાજુના ગામડાઓને પણ ફાયદો થયો'ભૌતિક સુહાગીયાએ વધુમાં જણાવ્યું કે, આ ચેકડેમો પીઠવડી, નાના જીંજુડા, સેંજળ, ભેકરા અને ગણેશગઢ સહિત આસપાસના ગામોના સીમાડામાં આવેલા ખેડૂતો માટે લાભદાયી બન્યા છે. પાણીના સ્તર ઊંચા આવવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જે તેમની પાકની ઉપજ વધારવામાં મદદ કરશે. 'પાણીનો સંગ્રહ ન થતો હોવાથી નિર્ણય લીધો'આ વિસ્તારની જમીન સામાન્ય રીતે પથરાળ હોવાથી પાણી જમીનમાં ઉતરતું ન હતું અને સંગ્રહ પણ થતો ન હતો. આ સમસ્યાને હલ કરવા અને ગામના પાણીના સ્તરને ઊંચા લાવવા માટે સરપંચ દ્વારા આ ચેકડેમો બનાવવાનો નિર્ણય લેવાયો હતો. 'પાણીના સ્તર ઊંચા આવતા ખેડૂતોને ફાયદો'સરપંચ ભૌતિક સુહાગીયાએ વધુમાં જણાવ્યું કે, અમે ગામનો અભ્યાસ કરીને એવી જગ્યાઓ પર ચેકડેમો બનાવ્યા છે જ્યાં મોટા પ્રમાણમાં ખેડૂતોને ફાયદો થાય. હાલ તમામ ચેકડેમો ઓવરફ્લો છે અને પાણીના સ્તર પણ ખૂબ ઊંચા આવ્યા છે. પહેલા ખેડૂતો માંડ શિયાળુ પાક લઈ શકતા હતા અને ઉનાળુ પાક તો લઈ જ નહોતા શકતા, પરંતુ હવે ચેકડેમના કારણે તેઓ શિયાળુ અને ઉનાળુ બંને પાક વધુ પ્રમાણમાં લઈ શકશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:59 am

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વર્ષે કાયમી કુલસચિવ મળશે:3 જાન્યુઆરીએ રજીસ્ટ્રારના ઇન્ટરવ્યૂ, વિવાદિત ડૉ.જાદવની સાથે ડૉ.જાડેજા, ડૉ. ધામેચા રેસમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વર્ષમાં કાયમી રજીસ્ટ્રાર મળી જશે. 10 વર્ષ સુધી ખાલી રહેલી જગ્યા પર વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં કાયમી કુલસચિવ આવ્યા પરંતુ તેમણે માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં રાજીનામુ આપી દેતા ફરી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ગબડી ગયું હતું. જોકે હવે આગામી તા.3 જાન્યુઆરી,2026ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ બનવા માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા છે. આ માટે કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પરંતુ તેમાંથી માત્ર 3 જ ઉમેદવારોની અરજી માન્ય રહેતા તેઓ ઇન્ટરવ્યુ આપી શકશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ધામેચા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર જાદવ અને આંબેડકર યુનિવર્સિટીના કાયમી કુલસચિવ જાડેજાનો સમાવેશ થાય છે.2 વર્ષથી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ઇન્ચાર્જના ભરોસે ગબડાવાઇ રહ્યુ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં 10 વર્ષ બાદ કાયમી કુલસચિવ ડૉ. હરીશ રૂપારેલિઆ મળ્યા હતા. જોકે મહાનગરપાલિકાના સેક્રેટરી તરીકેના તેમના અનુભવી સળંગ ગણવામાં આવતી ન હોવાથી તેમને આર્થિક નુકસાન થતું હતું જેના કારણે માત્ર ચાર મહિનામાં જ તેમને કાયમી કુલસચિવ તરીકે રાજીનામુ આપી દીધું અને ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કાયમી રજીસ્ટ્રાર વિહોણી બની ગઈ હતી. જે બાદ છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ઇન્ચાર્જના ભરોસે ગબડાવાઇ રહ્યુ છે. જોકે હવે 3 જાન્યુઆરી, 2026ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રાર બનવા માટેના ઈન્ટરવ્યુ ગોઠવાશે. જેથી નવા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલસચિવ મળશે તે નક્કી છે. વર્ષ 2003માં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મનીષ ધામેચા આ રેસમાં સામેલ છે. જેમની વર્ષ 2003માં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જે બાદ વર્ષ 2007માં પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. જેમના સમયગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને RUSHA અને PM USHA સહિતની રૂ.500 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે. આંબેડકર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. જ્યારે આ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવા માટેના પ્રબળ દાવેદાર અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાયમી કુલસચિવ અજયસિંહ જાડેજા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. જેઓ અગાઉ રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર હતા. જે બાદ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. જે બાદ હાલ તેઓ આંબેડકર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. રેસમાં પાછળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ સિવાયના અન્ય ઉમેદવાર દશરથ જાદવ છે. જેઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. જેમની વર્ષ 2017-18 માં રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જોકે તેમની સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો થતા સરકાર દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી. જે પછી તેમની પાસેથી રજીસ્ટ્રાર તરીકેનું પદ છીનવાઈ ગયુ અને બાદમાં તેમને ફરી ડેપ્યુટી રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા હતા. જેથી તેઓ આ રેસમાં પાછળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીના કાયમી રજીસ્ટ્રાર (1) જે.એમ.મેહતા 06.09.1966થી 12.11.1968 (2) સ્વ.વી. એમ. દેસાઇ 23.11.1968થી 31.08.1986 (3) બી.એફ.શાહ 01.09.1986થી 31.12.1986 (4) આર.એ.દેસાઇ 01.01.1987થી 30.11.1989 (5) જે. એમ. ઉદાણી 01.12.1989થી 30.06.1994 (6) આર.ડી.આરદેશણા 29.04.1995થી 31.03.1996 (7) એસ.બી.પંડ્યા 27.07.1996થી 28.02.1997 (8) સ્વ.એલ.જે.પંડ્યા 05.03.1997થી 22.03.1998 (9) વી.એચ.જોશી 14.12.2000થી 31.10.2002 (10) એ.પી.રાણા 24.06.2004થી 27.07.2005 (11) જી.એમ.જાની 03.05.2007થી 21.06.2011 (12) હરીશ રૂપારેલિઆ જુલાઈ 2023થી નવેમ્બર 2023

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:15 am

સુરેન્દ્રનગર નાયબ મામલતદારની EDએ ધરપકડ કરી:ચંદ્રસિંહ મોરીને લઇ ED અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં પહોંચી, 14 દિવસના રિમાન્ડની માગ કરાશે

સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. નાયબ મામલતદારના નિવાસસ્થાને તપાસ હાથ ધરાઈ હતીગતરોજ (24 ડિસેમ્બર, 2025)ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદા૨ ચંદ્રસિંહ મોરીને ત્યાં વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ ( ED)ના દરોડા પડ્યા હતા. અધિકારીના ઘરે વહેલી સવારથી જ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ તપાસ વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ ચાલી હતી. આઠથી વધુ વાહનો અને પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહી શરૂ કરાઈ હતી. એક ટીમે કલેક્ટરના બંગલા પર તપાસ કરી હતી, જ્યારે બીજી ટીમ વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદારના નિવાસસ્થાને પહોંચી હતી. સતત 14 કલાક સુધી કલેકટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યુંસતત 14 કલાક સુધી કલેકટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સવારથી ચાલેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન EDના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે. જોકે, આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અન્ય ગેરરીતિઓના ખુલાસા થવાની શક્યતા છે. સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યુંદસાડા તાલુકાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના દરોડા પડ્યા હોવાની ચર્ચાં હતી. સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે, એના ત્યાં પણ ઇડીના અધિકારીઓ ગયા હતા. આ ઉપરાંત કલેક્ટરના પીએની પણ આમાં ભૂમિકા હોવાની ચર્ચાંએ જોર પકડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:43 am

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો વલસાડમાં વિરોધ:VHP અને બજરંગ દળના કાર્યકરોએ બાંગ્લાદેશ સરકારના પૂતળાનું દહન કર્યું

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં વલસાડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઘટનાઓના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલા કાર્યકરોએ બાંગ્લાદેશ સરકારના પૂતળાનું દહન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક હિન્દુ આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુ યુવકોને જીવતા સળગાવવામાં આવી રહ્યા છે અને માતા-બહેનો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે માનવતા માટે શરમજનક છે. તેમણે આ ઘટનાઓને 'હિન્દુ નરસંહાર' સમાન ગણાવી હતી. પ્રદર્શનકારીઓએ ભારત સરકારને અપીલ કરી હતી કે બાંગ્લાદેશ સાથેના તમામ રાજદ્વારી અને મૈત્રી કરારો તોડી નાખવામાં આવે. તેમણે બાંગ્લાદેશને 'કૃતઘ્ન પાડોશી' ગણાવ્યો હતો. વિરોધમાં સામેલ યુવાનો અને આગેવાનોએ બાંગ્લાદેશી ખેલાડીઓ જે IPL જેવી ટુર્નામેન્ટમાં રમે છે, તેમનો પણ બહિષ્કાર કરવાની અને આવી મેચો ન જોવાની અપીલ કરી હતી. પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે હવે હિન્દુ સમાજે જાગૃત થવાની જરૂર છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં હિન્દુઓ પર આવા હુમલા ચાલુ રહેશે, તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. વલસાડના હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ શાંતિમાં માને છે, પરંતુ જો ધર્મ અને સમુદાય પર સંકટ આવશે તો તેઓ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો સહારો લેતા અચકાશે નહીં. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વલસાડના નગરજનો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:37 am

ટ્રકે સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ કાઢતાં 2 યુવાઓના મોત:ગઢડાના ઢસા નજીક ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર અન્ય યુવક ગંભીર, ત્રણેય અમદાવાદ તરફ જતાં હતા

ગઢડા તાલુકાના ઢસા નજીક ગઢડા-અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ઢસાથી અમદાવાદ તરફ જતા ગઢડા રોડ પર થયો હતો. સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે થયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ઢસા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે બંને મૃતકોની ઓળખ કરવા અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:23 am

'સાત સમુંદર ગીત' વાપરવા કરણ જોહરને છૂટ, રાજીવ રાયને રાહત ન મળી

આગામી ફિલ્મ 'તુ મેરી મૈે તેરા'માં ઉપયોગ સામે અરજી જે તે સમયે ગીતના મર્યાદિત હક્કો જ અપાયાનું સાબિત થતું નથીઃ અગાઉ પણ ફિલ્મો, જાહેરાતોમાં ઉપયોગ વખતે વાંધો લેવાયો ન હતો મુંબઈ - આગામી ફિલ્મ 'તુ મેરી મૈં તેરા'માં ૧૯૯૨ની ફિલ્મ 'વિશ્વાત્મા'નું હિટસોન્ગ 'સાત સમુંદર પાર' વાપરવા બદલ રાજીવ રાયની ત્રિમુર્તિ ફિલ્મ્સ પ્રા. લિ.એ કોપી રાઈટના ભંગનો આરોપ કરીને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સામે ંકરેલા કેસમાં હાઈ કોર્ટે રાજીવ રાયને રાહત આપવાનો ઈનકાર કર્યો છે.

ગુજરાત સમાચાર 24 Dec 2025 7:30 am

આયોજન:ગણિતની ભવિષ્યની દુનિયાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર

રાષ્ટ્રીય ગણિત દિવસના અવસરે લોઢા મેથમેટિકલ સાયન્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (એલએમએસઆઈ) દ્વારા વડાલામાં પોતાના સંકુલમાં દુનિયાભરમાંથી આવેલી 80થી વધુ ગણિત શોધકર્તાઓની યજમાની કરાઈ હતી. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગણિતજ્ઞોએ ગણિત ભવિષ્યની દુનિયાને આકાર આપવામાં કઈ રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેની પર ઊંડાણથી ચર્ચાવિચારણા કરી હતી.ઓઘસ્ટ 2025માં શરૂ થયેલી આ સંસ્થાનો ઉદ્દેશ દુનિયાભરના ગણિતજ્ઞોને એક સહયોગાત્મક અને યોગ્યતા આધારિત શોધ વાતાવરણ પ્રદાન કરવાનો છે. આ અવસરે સંસ્થાના ડાયરેક્ટર ડો. વી કુમાર મૂર્તિએ જણાવ્યું કે ગણિત અને કૃત્રિમ બુદ્ધિમતા (એઆઈ) ભારતને વર્ષ 2047 સુધી વૈશ્વિક આગેવાની તરફ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે જણાવ્યું કે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ગણિતજ્ઞોને પ્રોત્સાહિત કરવા સાથે આંતરરાષ્ટ્રીય શોધકર્તાઓને ભારત આવીને સહયોગ કરવાની તક પ્રદાન કરવાનો પણ છે.પ્રસિદ્ધ ગણિતજ્ઞ અને ફિલ્ડ્સ ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડો. મૂર્તિએ જણાવ્યું કે છેલ્લા ચાર મહિનામાં સંસ્થાએ અંકગણિતીય સાંખ્યિકી (એરિધમેટિક સ્ટાટિસ્ટિક્સ) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર કાર્ય કરી રહેલા ગણિતજ્ઞો સાથે સહયોગ સ્થાપિત કર્યો છે. ભારતમાં બહુ ઓછા લોકો અંકગણિતીય સાંખ્યિકી પર કામ કરી રહ્યા છે, જ્યારે દુનિયાભરના 80 શોધકર્તાઓ એક છત હેઠળ ભેગા થાય ત્યારે અમને એ સમજવાની તક મળે છે કે વૈશ્વિક સ્તર પર આ ક્ષેત્રમાં શું પ્રગતિ થઈ રહી છે. અમારો ઉદ્દેશ ફક્ત સારું ગણિત કરવાનો નથી, પરંતુ એ સમજવાનો પણ છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે. સંસ્થાના કાર્યક્રમ પ્રમુખ અને ફિલ્ડ્સ મેડલથી સન્માનિત ડો. મંજુલ ભાર્ગવે જણાવ્યું કે સંસ્થા પોતાની સ્થાપના પછી સ્થાપિત અને ઊભરતા શોધકર્તાઓને પ્રોત્સાહિત કરીને ગણિતીય સંશોધનને આગળ વધારી રહી છે. તેમણે ગણિતને જમીની સ્તર સુધી લઈ જવાની આવશ્યકતા પર ભાર આપ્યો હતો. ડો. ભાગર્વે જણાવ્યું કે અમે ભારતમાં મેથ્સ, સર્કલ્સનું એક રાષ્ટ્રીય નેટવર્ક શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ, જે ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત હશે. પૂર્વીય યુરોપ અને અમેરિકામાં આ મોડેલ બહુ સફળ રહ્યું છે અને ત્યાંથી અનેક ઉત્કૃષ્ટ ગણિતજ્ઞ સામે આવ્યા છે.તેમણે એમ પણ જણાવ્યું કે હમણાં સુધી ભારતમાં ગણિતને વ્યાપક સ્તર પર લોકો સુધી પહોંચાડવા માટે કોઈ સંગઠિત પ્રયાસ થયો નથી. લોઢા ફાઉન્ડેશનની પહેલ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને રુચિ જગાવવાનું કામ કરશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:18 am

રાજકારણ:મુંબઈ મહાપાલિકા માટે ઠાકરે બંધુની યુતિઃ આજે વિધિસર ઘોષણા કરાશે

એશિયાની સૌથી ધનાઢ્ય મુંબઈ મહાપાલિકા પર કબજો જમાવવા માટે દરેક પક્ષ અધીરો બન્યો છે. ભાજપ નબળી પડી રહેલી ઉદ્ધવ સેના પાસેથી મહાપાલિકા છીનવી લેવા માટે કમર કસી રહ્યો હતો ત્યારે હવે ઠાકરે બંધુઓની યુતિ થતાં રાજકારણમાં મોટી ઊથલપાથલ થવાની સંભાવના છે.ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચેની યુતિની વિધિસર જાહેરાત બુધવારે બપોરે 12 વાગ્યે થશે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે આ માહિતી આપી. રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીઓનો જંગ શરૂ થઈ ગયો છે. રાઉતે સોશિયલ મિડિયા X પર ટ્વિટ કર્યું છે. તેમાં તેમણે ફક્ત ત્રણ શબ્દોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે 'કાલે 12 વાગ્યે' વાક્ય લખ્યું છે અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનો ફોટો ટ્વિટ કર્યો છે. તેમાં ઠાકરે બંધુઓના હાથમાં ગુલાબનો મોટો પુષ્પગુચ્છ જોવા મળે છે. આ પરથી યુતિના સ્પષ્ટ સંકેત મળે છે. ઠાકરે બંધુઓની યુતિ અંગે ભાજપના નેતા રામ કદમે કહ્યું, 'રાજ ઠાકરેએ પાર્ટી છોડી ન હતી. ઉદ્ધવ ઠાકરેએ તેમને પાર્ટી છોડવાની ફરજ પાડી હતી. જોકે હવે તેમને રાજની જરૂર છે. એટલા માટે તેઓ તેમના દરવાજે ગયા છે. કોવિડ સમયગાળા દરમિયાન, મુખ્ય મંત્રી પદે હોવા છતાં ઉદ્ધવે વર્ક ફ્રોમ હોમ કર્યું. તેમણે જનતાના કફનના પૈસા ખાધા હતા. હવે બંને મરાઠી લોકો વિશે વાત કરશે. જોકે, જ્યારે તેમને જરૂર પડશે, ત્યારે તેઓ મરાઠી લોકોને યાદ કરે છે. તેમને શક્ય તેટલું એકસાથે આવવા દો. તેમની સંખ્યા 35-40 થી ઉપર નહીં જાય,' એમ તેમણે ટીકા કરી. ઠાકરે બંધુઓના આ જોડાણથી મુંબઈના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે, અને હવે બેઠકોની વહેંચણી માટે સંભવિત ફોર્મ્યુલા સામે આવી ગઈ છે. મુંબઈના 227 વોર્ડ માટે યોજાનારી ચૂંટણીમાં સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:17 am

મુંઝવણમાં વધારો:યુતી-આઘાડી બાબતે અનિશ્ચિતતા, બધા પક્ષોના કાર્યકર્તાઓ દ્વિધામાં

આગામી મહાપાલિકા ચૂંટણીમાં કયા શહેરમાં, કયા પક્ષ સાથે યુતી કરવી એ બાબતે ફેરવિચાર કરવાનું ધોરણ ભાજપે સ્વીકાર્યું છે. તેથી અન્ય તમામ રાજકીય પક્ષોની સ્થિતિ પણ કફોડી થઈ છે. રાજ્યની નગર પરિષદો અને મહાપાલિકાની ચૂંટણી જાહેર થયાથી ભાજપે યુતી બાબતે સાવચેતીભર્યું વલણ લીધું છે. આ ચૂંટણી માટે ભાજપ અને શિવસેના યુતી થશે એમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે છતાં કેટલાક ઠેકાણે મૈત્રીપૂર્ણ લડત થશે એમ પણ બોલ્યા હતા. નગર પરિષદ અને નગર પંચાયતના પરિણામ પછી ભાજપની રાજકીય સ્થિતિ ઘણી મજબૂત હોવાનું ચિત્ર નિર્માણ થયું છે. તેથી હવે મહાપાલિકાની ચૂંટણી માટે યુતી કરતા ભાજપ વધુ ચુસ્ત ભુમિકા લેશે એ સ્પષ્ટ થયું છે. મુંબઈ, થાણે, પુણે જેવી મહત્વની મહાપાલિકામાં ભાજપ યુતી બાબતે વાટાઘાટ કરતો હોવાનું ચિત્ર છે છતાં શક્યતઃ આ મહાપાલિકાઓમાં સ્વબળ અજમાવવા ભાજપ પ્રયત્નશીલ છે. પુણે શહેરમાં ભાજપ અને શિવસેના વચ્ચે યુતીની ચર્ચા ચાલુ છે. શિવસેનાના શહેરના નેતા રવિન્દ્ર ધંગેકરે અજિત પવારના રાષ્ટ્રવાદી સાથે આઘાડી કરવી એવો આગ્રહ રાખ્યો છે. ભાજપ તરફથી શિવસેનાને પૂરતી સીટ મળવાની ન હોવાથી તેઓ આ ભૂમિકા લઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:16 am

ચોરી:મુંબઈ આવતી બસમાં 1.20 કરોડના સોના- ચાંદીની લૂંટ

કોલ્હાપુરથી મુંબઈ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ બસમાં સોમવારે મધરાત્રે સશસ્ત્ર લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારાઓએ બસની ડિકીમાં રાખેલા રૂ. 1.20 કરોડના સોનું અને 60 કિલો ચાંદીની લૂંટ ચલાવી હતી. કિણી ટોલનાકાથી થોડા જ અંતરે આ ઘટના બની હતી. કોલ્હાપુરમાં વેપારીઓના સોના- ચાંદીના દાગીના આંગડિયાઓ દ્વારા મુંબઈમાં લઈ જવામાં આવે છે. સોમવારે રાત્રે 12 વાગ્યાના સુમારે કોલ્હાપુરથી મુંબઈ માટે અશોકા ટ્રાવેલ્સની બસ રવાના થઈ હતી. આ બસમાં લૂંટારાના ત્રણ સાગરીતો પહેલેથી જ પ્રવાસી બનીને બેઠેલા હતા. બસ કોલ્હાપુરથી નીકળીને કિણી ટોલનાકા વિસ્તારમાં પહોંચતાં જ બસમાં બેઠેલા એક લૂંટારાએ ડ્રાઈવરના ગળા પર ચાકુ મૂકીને બસ રોકવાની ફરજ પાડી.ડ્રાઈવરે બસ રોકતાં જ લૂંટારાઓની પાછળથી આવતી કાર આવીને ઊભી રહી હતી. કારમાંથી અન્ય સાગરીતો ઊતર્યા અને ડિકીનો કબજો લીધો. ડિકીમાંથી 60 કિલો ચાંદી, એક ચોલા સોનું અને રોકડ રકમ મળીને રૂ. 1.20 કરોડની મતાની લૂંટ ચલાવી હતી. જૂજ મિનિટોમાં માલ કારમાં નાખ્યો અને અંધારાનો લાભ લઈને લૂંટારા ભાગી ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.આ ઘટના પછી ડ્રાઈવરે તુરંત ટ્રાવેલ્સના માલિકને અને પેઠવડગાવ પોલીસને જાણ કરી હતી. પીએસઆઈ ભરત પાટીલ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એકંદરે જોતાં લૂંટારા જાણભેદુ હોવાની શંકા છે. તેમને અગાઉથી જ ડિકીમાં કીમતી વસ્તુઓ હોવાની માહિતી મળી ચૂકી હતી, જેથી યોજનાબદ્ધ રીતે લૂંટ ચલાવી હતી. અમે સીસીટીવી કેમેરાને આધારે વધુ તપાસ કરી રહ્યા છીએ, એમ પાટીલે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:14 am

કરૂણાંતિકા:વાશી સ્ટેશને એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નહીં મળતાં ગુજરાતી યુવાનનું મોત

સીએસએમટી- પનવેલ ટ્રેનમાં 2 ડિસેમ્બરે બપોરે ચેમ્બુરથી પનવેલ જવા નીકળેલો 25 વર્ષીય હર્ષ પટેલ અચાનક બેભાન થઈ ગયો હતો. ટ્રેન વાશી સ્ટેશને પહોંચતાં સાથી પ્રવાસીએ રેલવે પોલીસને જાણ કરી, જે પછી હર્ષને એમ્બ્યુલન્સ (108)માં ખસેડાયો, પરંતુ ડ્રાઈવર ભોજન કરવા માટે જતો રહેતાં રેલવે પોલીસ જીપમાં તેને એનએમએમસી હોસ્પિટલ, વાશીમાં લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું. સ્ટેશન પર એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર 24 x 7 ઉપલબ્ધ હોવો જોઈએ. આમ છતાં ડ્રાઈવર જમવા માટે નીકળી ગયો હતો. 18 ડિસેમ્બરે હર્ષની બહેને સોશિયલ મિડિયા પર વાશી સ્ટેશને સમયસર તબીબી સહાય નહીં મળતાં ભાઈએ જીવ ગુમાવ્યો તે વિશે વિડિયો શૅર કર્યો હતો. તેણે દાવો કર્યો કે સ્ટેશન પર સ્ટ્રેચર, વ્હીલચેર કે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નહોતી કે સીપીઆર અથવા ઈમરજન્સી પ્રતિસાદમાં તાલીમબદ્ધ કોઈ કર્મચારી પણ નહોતો. વળી, એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર પણ ઉપલબ્ધ નહીં હોવાથી ગોલ્ડન અવર્સ નીકળી ગયા હતા. પરિવારે સીએસએમટી ખાતે ડીઆરએમ કાર્યાલયમાં ફરિયાદગ નોંધાવી છે. હર્ષની બહેને વિડિયોમાં જણાવે છે, સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે હર્ષ હંમેશ મુજબ તે દિવસે ટ્રેનમાં ચઢ્યો. સ્વસ્થ દેખાતો હતો, પરંતુ અચાનક બેભાન થઈ ગયો. અમને જાણ કરાતાં તુરંત સ્ટેશને પહોંચ્યાં. પ્રવાસીઓ હર્ષને કપડાના બનાવેલા હંગામી સ્ટ્રેચર પર સબવે થકી લઈ ગયા.સ્ટેશન બહાર 108 એમ્બ્યુલન્સ હતી, પરંતચુ ડ્રાઈવર નહોતો. ડ્રાઈવરની વાટ જોઈ પરંતુ તે નહીં આવતાં આખરે મેં પોલીસ જીપમાં લઈ જવા આગ્રહ કર્યો. જોકે હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. સ્ટેશન પર કટોકટી માટે સુસજ્જતાનો અભાવ હોવાનું ખુદ રેલ અધિકારીઓએ જણાવ્યું હોવાનું પણ અનામિકાએ જણાવ્યું હતું. કપડાના બનાવેલા હંગામી સ્ટ્રેચર પર સબવે થકી લઈ ગયા.સ્ટેશન બહાર 108 એમ્બ્યુલન્સ હતી, પરંતચુ ડ્રાઈવર નહોતો. ડ્રાઈવરની વાટ જોઈ પરંતુ તે નહીં આવતાં આખરે મેં પોલીસ જીપમાં લઈ જવા આગ્રહ કર્યો. જોકે હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. સ્ટેશન પર કટોકટી માટે સુસજ્જતાનો અભાવ હોવાનું ખુદ રેલ અધિકારીઓએ જણાવ્યું હોવાનું પણ અનામિકાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:13 am

પ્રવાસીઓને રાહત:મધ્ય અને પશ્ચિમ રેલવેમાં ટૂંક સમયમાં 1-1 નવી AC લોકલ

લાંબી પ્રતિક્ષા બાદ મધ્ય અને પશ્ચિમ રેલવેમાં ટૂંક સમયમાં એક એક નવી એસી લોકલ દાખલ થશે. બંને લાઈનમાં આકર્ષક અને અદ્યતન રચનાવાળી દરેકમાં એક નવી એસી લોકલ દોડતી થશે. નવી એસી લોકલમાં બેસવાની વધુ ક્ષમતા અને પ્રવાસીઓને ઊભા રહેવા વધારે જગ્યા હશે. તેથી પીક અવર્સની ગિરદીમાં પ્રવાસીઓને ઘણી રાહત મળશે. નવી એસી લોકલ ટ્રેન ચેન્નઈ ખાતેની ઈંટિગ્રલ કોચ ફેક્ટરીમાંથી મુંબઈ લાવવામાં આવશે. અત્યારે ઉપનગરીય રેલવે માર્ગ પર એસી લોકલ ટ્રેન પૂર્ણ ક્ષમતાથી પ્રવાસી સેવામાં દોડે છે. કોઈ પણ વધારાની ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી કોઈ ટ્રેનમાં ખરાબી થાય તો સંપૂર્ણ ટાઈમટેબલ પર એની અસર થાય છે. એ ધ્યાનમાં લેતા નવી એસી લોકલની અનેક મહિનાથી રાહ જોવાઈ રહી છે. વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર પશ્ચિમ રેલવે માટે ચેન્નઈથી નવી અંડરસ્લંગ મેઘા એસી લોકલ આવશે. આ ટ્રેન અત્યારે વિલ્લિવાક્કમ યાર્ડમાં ઊભી છે. અંડરસ્લંગ ટ્રેનમાં એસી સિસ્ટમ જેવા મુખ્ય ઉપકરણ કોચની અંદર રાખવાના બદલે કોચના માળા નીચે મૂકવામાં આવે છે. તેથી પ્રવાસીઓને ઊભા રહેવા વધુ જગ્યા મળે છે અને બેસવાની વધુ સીટ ઉપલબ્ધ થાય છે. નવી રચનાની એસી લોકલમાં પ્રવાસીઓની સીટીંગ ક્ષમતા 1028થી વધીને 1116 સુધી વધશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:13 am

નવતર અભિગમ:જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં મુકાશે કસ્ટબીન‌

આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણનું મહત્વ ઘણું વધ્યું છે. માતા-પિતા અને શાળાઓ વિદ્યાર્થી પાસેથી ઉત્તમ પરિણામોની અપેક્ષા રાખે છે. આ અપેક્ષાઓ સાથે ભણતરના ભારમાં પણ ભારે વધારો થયો છે, જે વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જેમાં કેટલાક કિસ્સામાં માનસિક તાણથી વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. વિદ્યાર્થીઓ પોતાની આરોગ્યને લગતી સમસ્યાઓ રજૂ કરી શકે તેવા આશયથી ભાવનગર જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં કસ્ટબીન‌ મુકવાની અનોખી પહેલ આરોગ્યક્ષેત્રે રાજ્યકક્ષાએ સૌ પ્રથમવાર ભાવનગરમાં થશે. ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ઉપક્રમે કસ્ટબીન‌ મુકવાની યોજનાનો અમલ સ્થાનિક શિક્ષણ વિભાગ સાથેના સંકલનથી કરવામાં આવશે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લાની પ્રાથમિક થી લઈ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લેવામાં આવશે. જે યોજના અંતર્ગત સરકારી અને ખાનગી મળી ભાવનગર જિલ્લાની 1150 પ્રાથમિક શાળાઓ તથા 450 જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાને સમાવી લેવામાં આવશે. ભાવનગર જિલ્લામાં કસ્ટબીન‌ યોજનાનો સંપૂર્ણ અમલ આગામી માર્ચ-2026 મહિનાના અંત સુધીમાં થઇ જતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શકનો લાભ મળશે તેમ સૂત્રો માહિતી આપતા જણાવ્યું છે. 31મી માર્ચ-2026 સુધીમાં તમામ શાળાઓને આવરી લેવાશેશિક્ષણ વિભાગ સાથેના સંકલનથી ભાવનગર શહેર અને જિલ્લાની પ્રાથમિક થી લઈ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કસ્ટબીન‌ની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પોતાની સમસ્યા રજૂ કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને તેમની વાતનું નિરાકરણ લાવી શકાય‌. અનોખા પ્રયાસ સમાન આરોગ્યલક્ષી યોજનામાં આગામી 31મી માર્ચ-2026 સુધીમાં ભાવનગર જિલ્લાની તમામ શાળાઓને આવરી લેવામાં આવશે. ડો.ચંદ્રમણીકુમાર પ્રસાદ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર જિલ્લામાં કસ્ટબીન‌ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરશે ?બહુધા સરકારી કચેરીઓ, જાહેર સામાજીક સંસ્થાઓ અને કેટલીક શાળાઓમાં જોવા મળતા સૂચન બોક્સમાં જે તે કચેરી, સંસ્થા કે શાળાને લગતી સાર્વજનિક સમસ્યાની ફરિયાદ કરી શકાય છે અથવા સૂચન કરી શક્ય છે. આરોગ્યક્ષેત્રે અનોખા કહી શકાય તેવા કસ્ટબીન‌ પ્રોજેક્ટમાં જે તે શાળાઓના વિદ્યાર્થીઓ કસ્ટબીન‌ મારફતે આરોગ્યલક્ષી બાબતો સહિતની મનની લાગણીઓ વ્યક્ત કરી શકશે. કસ્ટબીન‌ મારફતે મળેલ જે તે વિદ્યાર્થીના પ્રશ્નોનું આરોગ્ય વિભાગના તંત્રવાહકો દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:12 am

એનાલિસિસ:મિલકત વેરામાં 153 કરોડ વ્યાજનો બોજ : વસુલાતની વ્યાધિ

ભાવનગર કોર્પોરેશન ઘરવેરા થકી આવક વધારવા પ્રયાસો કરે છે પરંતુ 433 કરોડના બાકી વેરામાં 152.74 કરોડ તો વ્યાજના જ છે. જૂની કર પદ્ધતિમાં મિલકતવેરામાં વ્યાજ માફીની યોજના છે પરંતુ કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં વર્ષ 2013 થી આજ સુધીમાં કોઈ દિવસ વ્યાજ માફી યોજના લાવવામાં નથી આવી. ભાવનગર કોર્પોરેશન દ્વારા મિલકત વેરામાં સમયાંતરે જુદી જુદી યોજનાઓ દ્વારા આવક વધારવા પ્રયત્નશીલ હોય છે. પરંતુ ભૂતકાળમાં ઘરવેરામાં કરેલા ગોટાળા અને બેદરકારીઓનું નુકસાન હજુ પણ પૂરું થયું નથી. જૂનીકર પદ્ધતિમાં 1997 થી 2013 સુધીમાં 204 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. અને તે પૈકી 138 કરોડ તો વ્યાજના છે. જૂની કર પદ્ધતિના અનેક ખાતા ટ્રેસ થતા નથી. જેથી જ છેલ્લા ઘણા સમયથી જૂની કર પદ્ધતિમાં વર્ષ 2009 થી 2013 સુધીની મુદ્દલ 48 કરોડની રકમ ભરવામાં આવે તો વ્યાજ સહિતનું તમામ બાકી રકમ માફી આપવામાં આવે છે.ચાર વર્ષના બાકી 48 કરોડમાં પાણી ચાર્જના 24 કરોડનો સમાવેશ થયેલો છે. પ્રતિ વર્ષ એપ્રિલ મે મહિના દરમિયાન રિબેટ યોજનાનો લાભ મિલકતવેરામાં આપવામાં આવે છે. ગત વર્ષે 6.90 કરોડ તો ચાલુ વર્ષે 7.37 કરોડ રિબેટનો લાભ કરદાતાઓને આપવામાં આવ્યો હતો. પરંતુ કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં પણ વ્યાજની રકમને કારણે બાકી વેરાના આંકડા વધુ મોટા દેખાય છે. કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં આજની તારીખે 433 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. જોકે તેમાં 115 કરોડ તો સરકારી મિલકતના છે. અને રૂપિયા 152.74 કરોડ વ્યાજની રકમના જ છે.એટલે કે સરકારી મિલકતોનો બાકી વેરો અને વ્યાજની રકમ જો બાદ કરવામાં આવે તો મુદ્દલ 165.26 કરોડ જ મિલકત વેરાના વસૂલવાના બાકી રહે. જોકે કોર્પોરેશનની આવક માટે સરકારી મિલકતોનો બાકી વેરો અને વ્યાજની રકમ બંને જરૂરી છે. ઈનસાઈડ: નિયમિત વેરો ભરપાઈ કરનારનો શુ વાંક?મિલકત વેરામાં વર્ષોથી વસુલાતના વિવાદ શરૂ છે. એ પણ વાસ્તવિકતા છે કે ભાવનગર કોર્પોરેશન આવક માટે મિલકત વેરા પર નિર્ભર છે. આવકના નવા સ્ત્રોત ઉભા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. કોર્પોરેશન દ્વારા જૂની કર પદ્ધતિ હોય કે ઓટીએસ સ્કીમ, જે તમામમાં જે કરદાતાઓ નિયમિત વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવી હોય તે તમામને જુના વેરા માંડવાળ કે વ્યાજમાફી આપી સહાનુભૂતિ દાખવતા હોય છે. પરંતુ જે લોકો નિયમિત વેરો ભરે છે. અને હાલમાં પણ ચાલુ વર્ષનું વ્યાજ સહિત વેરો ભરપાઈ કર્યો છે તેઓનો વાંક એટલો કે તેઓ વેરો ભરવામાં નિયમિત છે. બીજી તરફ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સર્વે કરી ચોક્કસપણે રાહત આપવા સાથે ડિમાન્ડમાં ઘટાડો કરવો પણ જરૂરી છે. અમદાવાદની જેમ ભાવનગરમાં પણ વ્યાજ માફીની કોંગ્રેસની માંગઅમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મિલકતવેરામાં વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાનો નિર્ણય કર્યો છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ ભાવનગરમાં વ્યાજ માફીની સ્કીમ આપવા માગણી કરી છે. છેલ્લા બાર વર્ષમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના મિલકત ધારકો ઊંચા વ્યાજની રકમના કારણે બાકી વેરો ભરી શકતા નથી. હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ વ્યાજ માફી સ્કીમ જાહેર કરવામાં આવી છે અને જાન્યુઆરીથી અમલમાં આવશે. તે જ રીતે ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ વ્યાજ માફી સ્કીમ લાવવામાં આવે તો કોર્પોરેશનની ડિમાન્ડ પણ ઓછી થશે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત પણ થશે. તે બાબતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મેયરને રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:11 am

વાતાવરણ:નાતાલ આવી છતાં ઠંડી જામી નથી તાપમાન સામાન્યથી 2.2 ડિગ્રી વધુ

નાતાલનું પર્વ આવે એટલે કડકડતી ઠંડી જામતી હોય છે પણ આ વર્ષે ભાવનગરમાં એક પણ વખત તીવ્ર ઠંડીનો તબક્કો આવ્યો નથી. રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભાવનગર શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ખાસ કરીને બપોરના સમયે મહત્તમ તાપમાન વધીને 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હોય બપોરે શિયાળાનો મધ્ય ભાગ હોય તેવો કોઇ અનુભવ થયો ન હતો. આજે શહેરમાં બપોરના સમયે સામાન્ય કરતા તાપમાન 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. બરફવર્ષાના સમાચાર છે હવે આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા વધે તેવી શક્યતા છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 16 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 15.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ.આજે લઘુત્તમ ઉષ્ણતામાન પણ સામાન્ય કરતા 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. આજે સવારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા હતુ તે સાંજે ઘટીને 38 ટકા થઇ ગયુ હતુ. જ્યારે સવારના સમયે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. છેલ્લાં ત્રણ દિવસમાં બપોરના સમયે તાપમાનમાં 2 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો છે. હવે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઈ છે ત્યારે ભાવનગર તરફ ઉત્તર અને પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોથી ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:10 am

રાજ્ય સરકારનો મોટો દાવ:અલંગ શિપ યાર્ડ બનશે વૈશ્વિક મેરિટાઈમ હબ

અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના ભાવિ રીસાયકલીંગ વોલ્યુમને પહોંચી વળવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB)એ 1224 કરોડના ખર્ચે અલંગના માસ્ટર પ્લાનીંગ પર કામ પૂર્ણ કરેલ છે. ગુજરાત સરકારે 2025માં અલંગ માટે એક મહત્ત્વાકાંક્ષી દૃષ્ટિકોણ રજૂ કર્યો છે, આગામી 10 વર્ષમાં 15,000 જહાજોનું રિસાયક્લિંગ કરવાનું મિશન, જેમાં અલંગની ક્ષમતાને 4.5 મિલિયન LDTથી વધારીને 9 મિલિયન LDT સુધી વિસ્તૃત કરવાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. રાજકોટ ખાતે 10 થી 12 જાન્યુઆરી 2026માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ-કચ્છ અને સૌરાષ્ટ્રમાં અલંગને માત્ર રિસાયક્લિંગ યાર્ડ તરીકે નહીં, પરંતુ રાજ્યની મેરિટાઈમ શક્તિ, ગ્રીન ટેક્નોલોજી, સરળ અને અનુકૂળ વ્યવસાયિક પરિસ્થિતિના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. પરિષદ રોકાણકારો અને નિષ્ણાતોને ગુજરાતની દરિયાઈ ક્ષમતાઓ સાથે જોડે છે અને શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં ભવિષ્યના વિકસતી અવસરોને ઉજાગર કરે છે. વૈશ્વિક શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે અલંગ શિપ રીસાયકલિંગ વ્યવસાય આશરે 32 ટકા યોગદાન આપે છે. અલંગમાં અત્યાર સુધી 8,800 થી વધુ જહાજોનું સુરક્ષિત અને નિયમિત રીતે રિસાયક્લિંગ થયું છે, જેમાંથી મળતી સામગ્રીનો 99.95 ટકા સુધીનો પુનઃઉપયોગ થતો હોવાથી આ સ્થળ ગ્રીન-ઇકોનોમી મોડલનું ઉત્તમ ઉદાહરણ છે. જોખમી હોય કે બિનજોખમી સામગ્રી, દરેકનો વૈજ્ઞાનિક નિકાલ અહીં સુનિશ્ચિત થાય છે. અલંગમાં હાલ 128 માંથી 115 પ્લોટ્સ સંપૂર્ણ હોંગકોંગ કન્વેનશન (HKC) માપદંડ મુજબના છે. અલંગ શિપ રીસાયકલીંગ યાર્ડ તાલીમ સંસ્થા, કામદારો માટે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ (લેવલ-૩) ટ્રોમા સેન્ટર અને અદ્યત્તન કચરા વ્યવસ્થાપન સુવિધાઓ વગેરે જેવી સુવિધાઓ સાથે સુસજ્જ છે. શિપ રિસાયક્લિંગ પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતા કચરાનો નિકાલ TSDF સાઇટ ખાતે કરવામાં આવે છે. વર્ષ 2024–25 દરમિયાન વૈશ્વિક પડકારો વચ્ચે પણ અલંગે સ્થિર કામગીરી નોંધાવી અને 113 જહાજોનું રિસાયક્લિંગ કર્યું. વર્ષ 2025-26ની શરૂઆતમાં જહાજોના આગમનમાં 13 ટકા વૃદ્ધિ નોંધાતા ક્ષેત્રમાં ફરી સકારાત્મક ગતિ દેખાઈ રહી છે. રોકાણકારો શા માટે રોકાણ કરે છે?અલંગ વિશ્વનું સૌથી મોટું શિપ રિસાયક્લિંગ બજારમાંથી એક છે. જે વૈશ્વિક ક્ષેત્રમાં પોતાનું 32% યોગદાન આપે છે અને વિશાળ બિઝનેસ વોલ્યુમ અને સતત આવકની ગેરંટી આપે છે.રિસાયક્લિંગ સામગ્રીનું 99.95% ઉપયોગી હોવાથી અહીં સ્ક્રેપ પ્રોસેસિંગ, સ્ટીલ રોલિંગ, મશીનરી રિફર્બિશમેન્ટ, ટ્રેડિંગ, લોજિસ્ટિક્સ વગેરે ઘણા ક્ષેત્રોમાં સ્થિર વ્યવસાય ઊભો થાય છે. સરકાર શું કરવા ઇચ્છી રહી છે?રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓમાં ખાસ લાંબા ગાળાની મેરિટાઈમ નીતિઓ, પોર્ટ ઈકોસિસ્ટમ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ લાઈસન્સિંગ આ બધું રોકાણકારોને નિર્ભરતા આપશે. રાજ્ય સરકાર દ્વારા 2035માં સુધી અલંગને 9 મિલિયન LDT ક્ષમતાવાળું મેરિટાઈમ ક્લસ્ટર બનાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું છે, જે રોકાણકારોને આગામી 10-15 વર્ષ સુધીનો સ્પષ્ટ વિકાસ માર્ગ પ્રદર્શિત કરે છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:10 am

સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડ્રાઇવ યથાવત:પ્લાસ્ટિક વપરાશ, ગંદકી ફેલાવતા 207 લોકોને રૂ.37,000 નો દંડ

ભાવનગર કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર તવાઈ બોલાવતા આજે પણ 207 લોકોને 37100 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ તા.23ના રોજ શહેરના તમામ વોર્ડમાં જુદા જુદા સ્થળોએ ચકાસણી કરતા જાહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા 28 આસામીઓ પાસેથી 32.6 કિલોગ્રામ પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂપીયા 17700 દંડ તથા જાહેરમાં ગંદકી કરવા સબબ 112 આસામીઓ પાસેથી કુલ રૂપીયા 9550 દંડ વસુલ કરેલ. શહેરની કંસારા નદીમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા કુલ 16 આસામીઓને કરીને કુલ રૂપીયા 4250 દંડ, જાહેરમાં થુકવા સબબ 14 આસામીઓને દંડીત કરીને કુલ રૂપીયા 3500નો દંડ, જાહેરમાં અને ડસ્ટબીન ન હોવા બાબતે 8 આસામીઓની પાસે કુલ રૂ.1600 દંડ અને રજકાના પૂળા વેચવા બદલ 29 આસામીઓ પાસેથી 117 પૂળા જપ્ત કરીને કુલ રૂપીયા 500નો દંડ વસુલ કરવામાં અવેલ. આમ કુલ 207 આસામીઓ પાસેથી કુલ રૂપીયા 37100ના દંડની વસુલાત કરવામાં આવેલ. સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્રમશઃ ભૂતકાળ કરતાં પરિણામમાં પણ ભાવનગર કોર્પોરેશનનો સુધારો આવતા પ્લાસ્ટિક ડ્રાઇવ અને સ્વચ્છતા ઝુંબેશ દ્વારા કડકાઇ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:09 am

જાણકારીનો અભાવ:જોડે એ સરદાર નાટકમાં આયોજક કલારસિક પ્રેક્ષકોને જોડી ન શક્યા !!

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આજે ભાવનગર શહેરમાં આવેલા યશવંતરાય નાટ્યગૃહમાં સંગીત નાટક, મલ્ટી મીડિયા શો જોડે એ સરદારનો શો હતો પણ લોકોમાં પૂરતી જાણકારીના અભાવે આ વિનામૂલ્યે યોજાયેલા જોવાલાયક નાટકમાં અધડું યશવંતરાય નાટ્યગૃહ ખાલી રહી ગયું હતુ. આજે સાંજે આ 6 કલાકે શો હતો અને તે માટે પૂરતા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવી ન હોય શો ફ્લોપ બની રહ્યો હતો. બાકી કોલેજોના વિદ્યાર્થીઓમાં આ શો માટે દરેક કોલેજ ખાતે જાણકારી મોકલી હોત તો યશવંતરાય નાટ્યગૃહ ટુંકુ પડત. પરંતુ આજે આ જોવાલાયક અને માહિતીપ્રદ સંગીત નાટક ખાલી રહી ગયું હતુ. તેના માટે આયોજકોને જવાબદાર ગણી શકાય. આ નાટકનું નામ જોડે એ સરદાર હતુ પણ આયોજકો આજે ભાવનગરના કલારસીકોને આ નાટકમાં જોડી શક્યા ન હતા. જોડે એ સરદાર નાટકમાં ભારત આઝાદ થયું ત્યારે દેશને પ્રથમ રજવાડું સોંપનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો પણ ઉલ્લેખ હતો પરંતુ જ્યાં મહારાજાએ રાજ્ય કર્યુ તે પોતાની જનતાના નગર ભાવનગરમાં જ આ નાટક વિષે બહુ કોઇને જાણકારી ન હતી. બાકી રાજ્યના અન્ય શહેરોમાં આ નાટકને સારો પ્રતિસાદ મળ્યો હતો અને નાટકના શો હાઉસફુલ રહ્યા હતા.પરંતુ ભાવનગરમાં વિનામૂલ્યે હોવા છતાં આ નાટકમાં અડધું થિયેટર ખાલી રહ્યું હતુ. તેનું મુખ્ય કારણ અગાઉ લખ્યું તેમ લોકોમાં આ માણવાલાયક નાટક વિષે જાણકારીનો અભાવ હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:06 am

ફરિયાદ:ચાર બુટલેગરોએ પતંગ ચગાવતા યુવક ઉપર પથ્થરા ઝીંકી હુમલો કર્યો

ભાવનગર શહેરના રાણીકા કરચલિયા પરા વિસ્તારમાં સાંજના સુમારે ઘર પાસે પતંગ ચગાવવા બાબતે થઇને ચાર શખ્સોએ એક સંપ કરી યુવક ઉપર પથ્થરમારો કર્યો હતો પરંતુ જે બાદ યુવકની ઉપર દાઝે ભરાયેલા ચારેય બુટલેગરોએ સોસાયટીમાં પણ રહેણાંકીય મકાનોમાં પથ્થરમારો કરી, આતંક ફેલાવતા, અનેક લોકો ભયના માર્યા બહાર દોડી આવી, બુટલેગરોનો વિરોધ કરતા ચારેય શખ્સો ફરાર થઇ ગયા હતા. જ્યારે સામા પક્ષે પણ યુવકની તરફેણ લઇને આવેલા અન્ય ત્રણ શખ્સોએ સામસામી મારમારી, ઇજા કરતા આઠ શખ્સો વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. બે જૂથ વચ્ચે ભયંકર મારમારી સર્જાતા મસમોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ભાવનગર શહેરમાં ગંગાજળિયા પોલીસ મથક હેઠળનો વિસ્તાર એવા રાણીકામાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે. અઢાર વર્ષિય હર્ષ ઉર્ફે હસુ દિપકભાઇ વાઘેલા વનરાજ ઉર્ફે વનો ભુપતભાઇ યાદવના ઘરની નજીક પતંગ ચગાવતો હોય જેને વનરાજને ન ગમતા વનરાજ ઉર્ફે વનો તેમજ તેમના ત્રણ મળતીયાઓ ત્યાં આવી હર્ષ ઉર્ફે હસુ વાઘેલાને ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ હર્ષભાઇ ઉપર પથ્થરમારો કરતા હર્ષભાઇ ઘટના સ્થળેથી ફરાર થયા હતા. જો કે, ત્યાર બાદ પણ વનરાજ સહિત ચાર શખ્સોએ યુવકની દાઝ રાખી સોસાયટીમાં આવેલા રહેણાંકીય મકાનોમાં પથ્થરમારો શરૂ કરતા લોકોની ચીચયારીઓ ઉઠી હતી અને રહેણાંકીય મકાનમાંથી લોકો ભયના મારે બહાર દોડી આવ્યા હતા. જ્યારે સામા પક્ષે વનરાજભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાંગના કારખાના નજીક ઉભો હતો તે દરમિયાન ચાર શખ્સો ત્યાં આવી અહીંયા કેમ ઉભો છો તેમ કહી, ભુંડા બોલી ગાળો આપી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થયા હતા. જે ઘટનામાં હર્ષ ઉર્ફે હસુભાઇ વાઘેલાએ નિલેશ રાઠોડ ભુપત યાદવ, વનરાજ ઉર્ફે વનો યાદવ અને વિજય યાદવ વિરૂદ્ધ અને વનરાજભાઇએ પ્રકાશ રમણીકભાઇ ચુડાસમા, પવન પપ્પુભાઇ જાંબુચા, ગોપાલ ઉર્ફે કુકડી દિલીપભાઇ બારૈયા, હિરેન વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટના બાદ ઘટનાગ્રસ્ત વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પથ્થરમારો કરનારા ચારેય શખ્સો બુટલેગરો : રહીશોપતંગ ચગાવનાર યુવક ઉપર હુમલો કરી, પથ્થરમારો કર્યો હતો. જે બાદ વનરાજ યાદવ, નિલેશ રાઠોડ, ભુપત યાદવ અને વિજય યાદવે રહીશોના રહેણાંકીય મકાનો ઉપર પથ્થરમારો કરી, આતંક ફેલાવ્યો હતો. જે બાદ આસપાસના રહીશો મોટી સંખ્યામાં બહાર દોડી આવતા ચારેય શખ્સો ફરાર થયા હતા. જે મામલે ચારેય શખ્સો આ વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂનો જાહેરમાં વેપલો કરતા હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:05 am

સિટી સ્પોર્ટ્સ:અંડર-14 : અમરેલીને પરાજય આપી ભાવનગર સેમિ ફાઇનલમાં

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત અંડર-14 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની ક્વાટર ફાઇનલમાં પ્રવાસી અમરેલી ડિસ્ટ્રીક્ટની ટીમને પ્રથમ દાવની સરસાઇના આધારે પરાસ્ત કરી અને ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમે સેમ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તા.26 અને 27ના રોજ રાજકોટ રેલવેના મેદાન ખાતે ભાવનગર ડિસ્ટ્રીક્ટ અને રાજકોટ રૂરલ વચ્ચે સેમિ ફાઇનલ મેચ રમાશે. અત્રેના સર ભાવસિંહજી ક્રિકેટ કલબના મેદાન ખાતે ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમે પ્રથમ દાવમાં 258 રન નોંધાવ્યા હતા. અને પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે અમરેલીની ટીમે 1 વિકેટે 3 રન નોંધાવ્યા હતા અને મંગળવારે આગળ રમવાનું શરૂ કરતા અમરેલીની ટીમ 76 ઓવર્સમાં 135 રને ઓલઆઉટ થઇ ગયા હતા. જેમાં જયવીર જાવદના 53 રન, જયદત્ત ઝાલાના 50 રન મુખ્ય હતા. ભાવનગર વતી આરવ મહેતાએ 6 વિકેટ, પ્રીતરાજ ચૌહાણે 2 વિકેટ ખેડવી હતી, અગાઉ પ્રીતરાજે 51 રન પણ ફટકાર્યા હતા. આમ પ્રથમ દાવની સરસાઇના આધારે ભાવનગરનો વિજય થયો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:03 am

અકસ્માત:સિદસર રોડ ખાતે ટ્રકે પરિવારને અડફેટે લેતા 7 વર્ષીય બાળાનું મોત

ભાવનગર શહેરમાં રહેતો એક પરિવાર બાઇકમાં બેસી સરતાનપર ગામેથી ઘર તરફ પરત ફરતા હતા. જે દરમિયાન સિદસર રોડ ઉપર પુરપાટ ઝડપે ટ્રક ચલાવી, ટ્રકના ચાલકે પાછળથી બાઇક સાથે ગમખ્વાર અકસ્માત કરતા પતિ, પત્નિ અને પુત્રીને ફંગોળતા ત્રણેય લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં માતા-પિતાની નજર સામે જ સાત વર્ષિય પુત્રીનું કરૂણ અકસ્માત થતાં પરિવારમા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભાવનગર શહેરના ગણેશગઢ ચિત્રા વિસ્તારમાં રહેતા રવિભાઇ રાજુભાઇ ડાભીના મોટા ભાઇ પ્રદિપભાઇ ડાભી તેમના પત્નિ દક્ષાબેન ડાભી અને તેમની સાત વર્ષિય દિકરી ક્રિષ્નાબેન પ્રદીપભાઇ ડાભી ત્રણેય લોકો તેમનું હોન્ડા સાઇન મોટર સાયકલ નં. GJ 04 FC 1748 લઇને ઘરેથી સરતાનપર (કોબડી) ગામે ગયા હતા. જ્યાંથી બાઇક પર બેસીને ત્રણેય લોકો ભાવનગર શહેર તરફ આવવા રવાના થયા હતા. જે દરમિયાન સિદસર રોડ ઉપર પહોંચતા જે વેળાએ પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રક નં. GJ 18 AZ 2217 ના ચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવી, બાઇક સાથે ગમખ્વાર અકસ્માત કરતા, બાઇકમાં રહેલા પતિ-પત્નિ અને પુત્રી ફંગોળાઇ રોડ ઉપર પટકાયા હતા. જે દરમિયાન ટ્રકનું ટાયર સાત વર્ષિય ક્રિષ્નાબેન ઉપર ફરી વળતા માતા-પિતાની નજર સામે ક્રિષ્નાબેનનું દર્દનાક મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જ્યારે ઇજાગ્રસ્ત પ્રદિપભાઇને ખુબ જ ગંભીર હાલતે અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ટ્રક ચાલક ફરાર થઇ જતાં રવિભાઇએ ટ્રક ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. બે દિવસમાં કાળમુખા બે ટ્રકે બે લોકોનો જીવનદિપ બુઝાવ્યોબે દિવસ અગાઉ નારી ગામની નજીક ટ્રક ચાલકે બે મિત્રોના બાઇક સાથે ગમખ્વાર અકસ્માત કરતા બાઇક ચાલકનું મોત થયું હતું. ત્યારે આજે બીજી ઘટનામાં પણ ટ્રક ચાલકે એક પરિવારના ત્રણ સભ્યો સાથે ગમખ્વાર અકસ્માત કરતા સાત વર્ષિય બાળાનું દર્દનાક મોત થવા પામ્યું છે.ટ્રક ચાલકો શહેર તેમજ જિલ્લામાં પુરપાટ ઝડપે ચલાવી નિર્દોષ લોકોનો જીવ લઇ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:02 am

આયોજન:રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા જિલ્લામાં 85 શાળામાં સરદાર વંદના કરવામાં આવી

રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા સરદાર સાર્ધ શતાબ્દી નિમિતે ગુજરાતમાં 565 અને ભાવનગર જિલ્લામાં 150 શાળાઓમાં સરદાર વંદના કાર્યક્રમનું આયોજન થયું છે. તે પૈકી ભાવનગર જિલ્લામાં 85 શાળાઓમાં સરદાર વંદના કાર્યક્રમ સંપન થયો. શક્તિદાનભાઈ દ્વારા સ્વરચિત ગીતો, બળદેવસિંહ ગોહિલે સમન્વય પરિચય, સરદાર વંદના કાર્યક્રમની વિગત અને સરદારની દેશી રજ્વાડાઓના એકીકરણની કામગીરી, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર્સિંહજી દ્વાર દેશભરમાં સૌ પ્રથમ પોતાનું રાજય ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું વગેરે ઐતિહાસિક વિગતો રજુ કરી અને મુકેશભાઈ કક્કડે સરદારના પ્રેરક પ્રસંગો રજુ કર્યા. લંબે હનુમાન પ્રાથમિક શાળા, ભાવનગર ખાતે સંસ્થાને 36 વર્ષ પૂર્ણ થયા તે વિગત અપાઇ હતી. સૌરાષ્ટ્રની 250 શાળાઓમાં સરદાર વંદના યોજાશેસૌરાષ્ટ્ર ઝોનમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સમન્વય મિત્રો 250 શાળાઓમાં સરદાર વંદના કાર્યક્રમ કરશે. શિક્ષણ સંવર્ધન અભિયાન, રાજ્ય સમન્વય ગ્રુપ કે જે બિલકુલ નન ફોર્મલ, નન રજીસ્ટર્ડ સંસ્થાન છે. 36 વર્ષથી રાજ્યની શાળાઓમાં પ્રવૃત્તિઓ હાથ ધરતા રહ્યાં છે. 55 હજાર વિદ્યાર્થીઓને સરદાર પટેલની જાણકારી અપાશેસમન્વયે સરદાર સાહેબ ઉપર પ્રશ્ન પુસ્તિકા બહાર પાડી તે રાજ્યની 565 શાળાઓના વિદ્યાર્થીઓને આપીને તેની એક બહુવિકલ્પ કસોટી લેવામાં આવે છે. જેમાં રાજ્યના અંદાજે 55 હજાર વિદ્યાર્થીઓને સરદાર પટેલના નેતૃત્વ, ખુમારી, રાષ્ટ્રપ્રેમ અને સાદાઈના પાઠોથી અવગત કરીને વિદ્યાર્થી ઘડતરથી અનેકતામાં એકતા- રાષ્ટ્ર નિર્માણનું કાર્ય હાથ ધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:01 am

લાફાકાંડમાં કોનો વાંક, પોલીસ કોન્સ્ટેબલનો કે વકીલ યુવતીનો?:અમદાવાદીઓ સામ સામે, યુવતીઓએ જ લેડીઝનો વાંક કાઢ્યો, 'ગમે તે થાય પોલીસ હાથ ના જ ઉપાડી શકે'

શહેરના અંજલિ ચાર રસ્તા પાસે 19 ડિસેમ્બરની સાંજે ટુવ્હીલરચાલક બંસરી નામની યુવતીએ સિગ્નલ તોડ્યું હતું, જેથી ત્યાં હાજર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ તથા તેમના સ્ટાફે યુવતીને રોકી હતી. પોલીસે યુવતી પાસેથી લાઇસન્સ અને યુવતીએ પોલીસ પાસે આઈકાર્ડ માગતી વખતે બોલાચાલી થઈ હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાએ વકીલ યુવતી બંસરીને લાફો મારી દીધો હતો અને તુરંત એફઆઈઆર નોંધી હતી. આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફા મારી લોહી કાઢ્યું; મહિલાએ પોલીસકર્મીને ગાળો દીધી હોવાનો વીડિયો સામે આવ્યો જ્યારે બીજા દિવસે હેડ કોન્સ્ટેબલનો બોડી વોર્ન કેમેરાનું ફૂટેજ સામે આવ્યું હતું. જેમાં બંસરી ઠક્કર આઈકાર્ડ ફેંકી જયંતી ઝાલાને બેફામ ગાળો ભાંડતી જોવા મળી હતી. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ લાફાકાંડને લઈ દિવ્ય ભાસ્કરે શહેરના યુવક અને યુવતીઓને પૂછ્યું કે આ વિવાદમાં કોનો વાંક છે? જેમાં યુવતીઓએ લેડીઝનો જ વાંક કાઢ્યો હતો. તેની સાથે સાથે ગમે તે થાય પોલીસ કોન્સ્ટેબલ હાથ તો ના જ ઉપાડી શકે એમ પણ કહ્યું હતું. આ પણ વાંચો: 'ઊભો રે બે બાપના, બાયલા...', અમદાવાદમાં હેડ કોન્સ્ટે.ના લાફા પ્રકરણમાં બોડી વોર્ન કેમેરાનો વીડિયો સામે આવ્યો

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:00 am

TET-1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5 હજાર શિક્ષકોની ભરતીની શકયતા:માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય, નવા સત્રથી નિમણૂકનો સરકારનો પ્લાન

તાજેતરમાં લેવામાં આવેલી TET-1 પરીક્ષા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષક ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આવતા જાન્યુઆરી મહિનામાં અંદાજે 5,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકાય છે, જ્યારે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સરકારનું આયોજન છે કે, પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક મળી જાય. નિવૃત્તિ અને એક્સ્ટેન્શન પૂર્ણ થતાં ખાલી જગ્યાઓ વધશેએક ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત થયા હતા, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સ્ટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે. વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતીશિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત (Contract basis) કરવામાં આવશે. હાલ તાજેતરમાં 5,000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતાં હજુ પણ અંદાજે 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. CPEd કોલેજ બંધ થતા ઉમેદવારોની અછતવ્યાયામ શિક્ષકોની ભરતીમાં પડકાર અંગે અધિકારીએ કહ્યું કે, CPEd કોલેજો બંધ થઈ જતા લાયક ઉમેદવારો મળવામાં મુશ્કેલી ઉભી થઈ છે. પરિણામે સરકારને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવી ભરતી અંગે વૈકિલ્પક વ્યવસ્થા અને આયોજન પર વિચારણા કરવામાં આવશે. TET પાસ ઉમેદવારો માટે રાહતના સંકેતTET-1 પાસ ઉમેદવારો માટે આ જાહેરાતને મોટી રાહત અને આશાની નજરે જોવામાં આવી રહી છે. લાંબા સમયથી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સરકારનો આ સ્પષ્ટ રોડમેપ મહત્વપૂર્ણ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:00 am

સહાય:નાળિયેરના નવા વાવેતર માટે સરકારની સબસિડી મેળવી શકાશે

નાળિયેર હેઠળના વિસ્તારને વધારવા માટે યોગ્ય વિસ્તારોમાં નાળિયેરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા ‘નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ’ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર રૂ.56000ની સહાય આપવામાં આવે છે. જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા (0.08 હેક્ટર) નાળિયેરના રોપા વાવવા ઇચ્છુક છે, તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા પાત્ર છે, જેમાં મહત્તમ 2 હેક્ટર (@160 રોપા/હે) નો સમાવેશ થાય છે. અરજી ફોર્મમાં નિયમો અને શરતોનો ઉલ્લેખ છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ, રોપાઓ રોપ્યા પછી https://coconutboard.gov.in/docs/aepgujarat.pdf પર ઉપલબ્ધ પ્રથમ વર્ષની સબસિડી અરજીઓ ડાઉનલોડ કરીને અરજી ફોર્મમાં દર્શાવેલ અન્ય દસ્તાવેજો સાથે ભરેલી અરજીઓ નાળિયેર વિકાસ બોર્ડ, રાજ્ય કેન્દ્ર - ગુજરાત, બી વિંગ, પહેલો માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ,ને મોકલવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:59 am

વિશેષ સુવિધા:ધો.9-12માં અંધ પરીક્ષાર્થી કોમ્પ્યુટર વાપરી શકશે

આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં તેમજ શાળા કક્ષાએ લેવાતી ધો.9 અને ધો.11ની પરીક્ષામાં દિવ્યાંગોને કેટલીક વિશેષ સુવિધા આપવામાં આવી છે જેમાં એક સુવિધા કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરવાની આપવામાં આવે છે. જોકે આ માટે કેટલીક શરતો પણ બોર્ડ દ્વારા મૂકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નોંધાયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગજન અધિકાર નિયમ મુજબ ધો.9થી 12માં કેટલીક વિશેષ છૂટછાટ કે રાહત પરીક્ષા દરમિયાન આપવામાં આવે છે અને ધો.9થી 12ની તમામ શાળાઓ માટે આ છૂટછાટ અમલી બનશે. લખવામાં અસમર્થ હોય તેવા વિદ્યાર્થી ઈચ્છે રાઇટરની સેવા નિયમ મુજબ આપવામાં આવશે પોતાના ધોરણથી એક ધોરણથી નીચો વિદ્યાર્થી રાઇટર તરીકે રાખી શકશે. ધોરણ 9 અને 11માં શાળાના આચાર્ય જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં રાઇટર મંજૂર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને છે. દિવ્યાંગ વિદ્યાર્થી રાઇટર અથવા વાચક બે પૈકી કોઈ પણ એક જ સેવાની માગણી કરી શકશે. દિવ્યાંગ વિદ્યાર્થીને વાંચવા કે સમજવામાં સમસ્યા હોય તે ઈચ્છે તો વાચક પણ આપવામાં આવે છે. પરીક્ષામાં ઉપયોગમાં લેવાનારા કોમ્પ્યુટર કે લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ તથા બ્રેઇલ લિપિના સોફ્ટવેર સિવાય અન્ય કોઈ સોફ્ટવેર કે ડેટા ન હોય તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન ધરાવતા હોય તે સુનિશ્ચિત કરાવવા કોમ્પ્યુટર કે લેપટોપ ત્રણ દિવસ પૂર્વે પરીક્ષા કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે તથા જિલ્લા શિક્ષણાધિકારીએ કોમ્પ્યુટરના તજજ્ઞ દ્વારા આ બાબત સુનિશ્ચિત કરાવવાની રહેશે. પરીક્ષાના 15 દિવસ અગાઉ રજૂઆત કરી શકાશેઆ શરતો મુજબ આ પરીક્ષામાં સંપૂર્ણ અંધ કે અલ્પદ્રષ્ટિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર કે લેપટોપની ખરેખર જરૂરિયાત હોય તો સક્ષમ તબીબી અધિકારી દ્વારા મળેલા પ્રમાણપત્રના આધારે તેના ઉપયોગ કરવા માટે પરીક્ષાના 15 દિવસ અગાઉ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી દિવ્યાંગ વિદ્યાર્થીને બ્રેઇલ લિપિ લોડ કરેલું સોફ્ટવેર યુક્ત કોમ્પ્યુટર કે લેપટોપ વાપરવાની પરવાનગી આપે તેવા કિસ્સામાં દિવ્યાંગ વિદ્યાર્થીએ પોતે કમ્પ્યુટર કે લેપટોપની વ્યવસ્થા કરવાની રહેશે. દર એક કલાકે 20 મિનિટ વધારાની મળશેદિવ્યાંગ વિદ્યાર્થીને પ્રશ્નપત્રના દરેક કલાકે 20 મિનિટનો વળતર સમયે એટલે કે વધારાનો સમય આપવામાં આવશે. જેમાં એક કલાકના પ્રશ્નપત્ર માટે 20 મિનિટ, બે કલાકનું પેપર હોય તો 40 મિનિટ અને ત્રણ કલાકનું પ્રશ્નપત્ર હોય તો 60 મિનિટનો વળતર સમય આપવામાં આવશે. આ વળતર સમય તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને લહિયાની મદદ લે અથવા ન લે તો પણ આપવામાં આવશે. અંધત્વવાળાને પ્રશ્નોમાં છૂટછાટ અપાશેઅલ્પદ્રષ્ટિ કે અંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં આકૃતિ, નકશા અને ગ્રાફ દોરવાના હોય તેવા પ્રશ્નોમાં અન્ય વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવશે આ પ્રકારની છૂટછાટ આ દિવ્યાંગોને આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:57 am

કાર્યવાહી:ગૌવંશનુ માંસ ખરીદનાર મરહબા હોટલના ઉમરની ધરપકડ કરાઈ

ભાવનગર શહેરમાં એકાદ માસ અગાઉ 106 કિલોગ્રામ ગૌમાંસ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા બે ભેંસ, પાંચ પાડા અને એક વાછરડીને મુક્ત કરાવી હતી. જે બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને કુલ છ જેટલા આરોપીની ધરપકડ કરાઇ હતી. જે બાદ એક નોનવેજ હોટલ ચલાવતો સંચાલકની પણ સંડોવણી હોવાનું ખુલતા આજે પોલીસે સાંઢિયાવાડ વિસ્તારમાંથી મરહબા હોટલમાં જઇ હોટલના સંચાલક ઉમર મુખ્તારની ધરપકડ કરતા મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ગૌવંશ પશુધનની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં ભાવનગર એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, સાંઢિયાવાડમાં રહેતો હુસૈન અબ્દુલભાઇ બાવનકા અને મોહસીન હનીફભાઇ શેખ ગૌવંશની કતલ કરી, ગૌમાંસનું વેચાણ કરતા હોય તેવી બાતમી મળતા પોલીસે રેડ પાડી, 106 કિલોગ્રામ ગૌવંશના માંસ સાથે પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરી હતી. અને કતલ માટે રાખેલા બે ભેંસ, પાંચ પાડા અને એક વાછરડીને મુક્ત કરી હતી. જે બાદ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી અન્ય ચાર એમ કુલ છ શખ્સોની ધરપકડ કરી જેલમાં ધકેલ્યા હતા. ત્યારે આ મામલે સાંઢિયાવાડમાં આવેલ નોનવેજ મરહબા હોટલના સંચાલકની પણ ભુમિકા સપાટી ઉપર આવતા આજે મોડી સાંજે એસ.ઓ.જી. પોલીસે મરહબા હોટલમાં પોલીસનો મોટો કાફલો પહોંચ્યો હતો અને હોટલનો સંચાલક ઉમર મુખ્તાર ઉર્ફે ઉજૈફ મુસ્તુફાભાઈ ખોખરની ધરપકડ કરતા લોકોના મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા. આ દરમિયાન પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીની પોલીસ દ્વારા સઘન પુછતાછ કરવામાં આવી રહી છે. હોટલનો સંચાલક ગૌ વંશનુ માંસ ખરીદી વેચાણ કરતો હતોપોલીસની તપાસ દરમિયાન પકડાયેલા છ આરોપીની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મરહબા હોટલનો સંચાલક ઉમર મુખ્તાર ખોખર આરોપીઓ પાસેથી ગૌમાંસની ખરીદી કરતો હતો અને તેની મરહબા નામની હોટલમાં ગૌમાંસનું વેચાણ કરતો હોવાનું તમામ આરોપીઓ પોલીસ સમક્ષ કબુલાત આપી હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:55 am

સરહદી કચ્છમાં આરોગ્ય સુવિધાને મળશે વેગ:ચાર પીએચસીને સીએચસીમાં અપગ્રેડ કરાશે

સરહદી કચ્છ જિલ્લામાં આરોગ્ય વ્યવસ્થાને વધુ સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને અંતરીયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવાના હેતુથી જિલ્લાના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ માટે સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય અનુસાર લખપત તાલુકાના બરંદા, અબડાસા તાલુકાના ડુમરા, ભુજ તાલુકાના ગોરેવાલી અને રાપર તાલુકાના બાલાસર ખાતે હાલ કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સીએચસીમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલ આ વિસ્તારોમાં માત્ર પ્રાથમિક સ્તરની સારવાર ઉપલબ્ધ છે, પરંતુ સીએચસી બનતા જ વિશેષજ્ઞ ડોક્ટરો, પ્રસૂતિ સેવા, ઈમરજન્સી સારવાર તેમજ વધુ આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજ્યના આગામી બજેટમાં આ માટે જરૂરી નાણાંની ફાળવણી કરવામાં આવશે. આ સાથે આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં નવા શરૂ થયેલા અન્ય 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઇમારતો બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. તેમાં લખપત તાલુકાના પાન્ધ્રો અને નરા, રાપર તાલુકાના કીડીયાનગર, કુંભારીયા, રવમોટી, લોદ્રાણી અને અમરાપર, નખત્રાણા તાલુકાના ફુલાય અને સાયરા તેમજ ભુજ તાલુકાના લોડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. અબડાસા મત વિસ્તારના પાન્ધ્રો, નરા, ફુલાય અને સાયરા પીએચસીના નવા બિલ્ડીંગ બનાવવા 620 લાખ મંજૂર કરાયા છે. તેમજ ડુમરા પીએચસીને સીએચસીની મંજૂરી મળતા ધારાસભ્ય પી.એમ. જાડેજાએ સરકારનો આભાર માન્યો હતો. પીએચસી માટે જમીન શોધખોળની કામગીરી ચાલુગ્રામ્ય વિસ્તારોમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઇમારત નિર્માણ માટે જમીન શોધવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેમાં પાન્ધ્રો, નરા અને લોડાઈ ગામોમાં જમીન મળી હોવાનું જાણવા મળ્યું છે અને આ માટે સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પણ પસાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય સાત ગામોમાં જમીન શોધવાની કામગીરી હજી ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં આ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શાળાના ક્વાર્ટર, જૂની પ્રાથમિક શાળા, સબ સેન્ટરના મકાનો, ડિસ્પેન્સરી, પંચાયતના મકાન કે ખાનગી મકાનોમાં ચાલી રહ્યા છે. નવી ઇમારતોનું નિર્માણ થતાં ગ્રામ્ય સ્તરે આધુનિક આરોગ્ય સુવિધાઓ વિકસશે અને સ્થાનિક લોકોને આરોગ્ય સેવા માટે લાંબા અંતર સુધી જવું નહીં પડે, જેના કારણે લોકોમાં નોંધપાત્ર ફાયદો થશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)PHC ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓનું પ્રથમ કેન્દ્ર હોય છે. અહીં સામાન્ય બીમારીઓની સારવાર, રસીકરણ, માતા-બાળ આરોગ્ય સેવા તથા સામાન્ય પ્રસૂતિ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે એક MBBS ડોક્ટર અને મર્યાદિત સ્ટાફ કાર્યરત હોય છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)CHC વધુ વિકસિત આરોગ્ય કેન્દ્ર હોય છે અને તે PHC માટે રેફરલ સેન્ટર તરીકે કાર્ય કરે છે. અહીં વિશેષજ્ઞ ડોક્ટરો, 24 કલાકની ઇમરજન્સી સેવા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસૂતિ, નાની સર્જરી, વધુ બેડ ક્ષમતા અને આધુનિક સાધનો ઉપલબ્ધ હોય છે

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:06 am

ઘટસ્ફોટ:14 વર્ષની છાત્રાને 3 હવસખોરોએ પીંખી અને 2 ઈસમોએ બીભત્સ માંગણી કરી હતી

તાલુકાના એક ગામની 14 વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં આ બનાવમાં ત્રણ આરોપીઓએ વારફરતી હવસનો શિકાર બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે બાદ વધુ બે આરોપીઓએ શરીર સબંધ બાંધવાની માંગણી કરી પજવણી કરતા હોસ્ટેલમાં છાત્રા ગુમસુમ રહેવા લાગી હતી, જે બાબતે શિક્ષકે તેની માતાને જાણ કરતા પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી અને પોલીસે બે આરોપીની અટકાયત કરી અન્ય બે સગીર આરોપીઓ સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે એક આરોપી હાથ લાગ્યો નથી. માનકુવા પોલીસ મથકે ભોગ બનનાર સગીરાની માતાએ 22 વર્ષીય આરોપી સરફરાજ ખલીફા, 19 વર્ષીય આરોપી ઈજાજ ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે. ગત મે મહિના દરમિયાન સગીર આરોપીએ છાત્રાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ગામના મંદિર પાસે બોલાવી હતી. છાત્રા મળવા માટે ગઈ ત્યારે આરોપીએ છરી બતાવી તેનું અપહરણ કર્યું હતું અને મંદિર નજીક આવેલા ઓટલા પર બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો. જેના સાતેક દિવસ બાદ આરોપી સરફરાજ ખલીફાએ સગીરાને એજ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવના પાંચ મહિના બાદ દિવાળી વેકેશનમાં છાત્રા ઘરે આવી ત્યારે ત્રીજા આરોપીએ (સગીર વયનો) પણ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આરોપી ઈજાજ ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીએ સગીરાનો અવાર નવાર પીછો કર્યો હતો અને શરીર સબંધ બાંધવાની માંગણી કરી છેડતી કરી હતી. એક બાદ એક પાંચેય આરોપીઓએ શોષણ કરતા છાત્રા હોસ્ટેલમાં ગુમસુમ રહેવા લાગી હતી. તેવામાં દીકરીને નાસ્તો આપવા માટે હોસ્ટેલ ગયેલા ફરિયાદીને આ મામલે શિક્ષકે વાત કરી હતી. જેથી ફરિયાદીએ પોતાની દીકરીને પૂછપરછ કરતા સમગ્ર આપવીતી જણાવી હતી. સમગ્ર મામલે તપાસ કરનાર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.રાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,પોલીસે પોક્સો સહીતની કલમ તળે ગુનો દાખલ કરી આરોપી સરફરાજ અને ઈજાજની અટકાયત કરી લીધી છે. જ્યારે બે સગીર આરોપી સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે એક આરોપી હજી પોલીસને હાથ ન લાગતા તેની ઉમર સહીતની વિગતો સામે નથી આવી જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 5 આરોપી, 5 મહિના બ્લેકમેઈલ અને 3 વખત દુષ્કર્મ14 વર્ષની સગીરાને પાંચ આરોપીઓએ વારાફરતી બ્લેકમેઈલ અને ધાક ધમકી કરી હતી. સગીર આરોપીએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યા બાદ જાણે અન્ય ચાર આરોપીઓએ પણ સગીરાને હવસનો શિકાર બનાવવાનું નક્કી કરી લીધું હોય તેમ એક પછી એક સામે આવ્યા હતા. સતત પાંચ મહિના સુધી શારીરિક શોષણનો ભોગ બનેલી છાત્રાના માનસ પર તેની અસર દેખાઈ હતી. જોકે આરોપીઓએ પહેલાથી જ પ્લાનિંગ કરીને શિકાર બનાવી હતી કે કેમ, આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે સહીતની વિગતો પોલીસની વધુ પૂછપરછ દરમિયાન સામે આવશે. હાલ પાંચેય આરોપીઓ સામે પોક્સો સહીતની ભારેખમ કલમો તળે ગુનો દાખલ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:04 am

પાઉડર ઉછાળવાનો વીડિયો બનાવ્યો અને જિંદગી બદલાઈ ગઈ:માહી પટેલે કહ્યું, ‘શરૂઆતમાં સાસુને મારું કામ પસંદ નહોતું, એક સમયે કુર્તી પણ વેચતી’

સોશિયલ મીડિયામાં એથનિક વેઅરમાં એક સુંદર ને ક્યૂટ યુવતી પોતાના આગવા એક્સપ્રેશનથી લોકોનાં દિલ જીતી રહી છે. આ યુવતી એટલે માહી પટેલ. 'રીલના રાજ્જા'ના આજના ત્રીજા એપિસોડમાં આપણે વાત કરીશું માહી પટેલની. માહી પટેલને લગ્નમાં કેવી કેવી અડચણો આવી? માહી પટેલે ક્યારથી વીડિયો બનાવવાના શરૂ કર્યા? પહેલી કમાણી કેટલી હતી? માહીએ નવા કન્ટેન્ટ ક્રિએટર્સને શું સલાહ આપી…? મૂળ મહેસાણાના વરસોડાના માહી પટેલના પિતા ગાંધીનગરમાં સરકારી નોકરી કરતા અને માહીએ ત્યાંથી જ સ્કૂલિંગ કર્યું. ત્યારબાદ અમદાવાદમાંથી MBA કર્યું. માહી કહે છે, 'હું પરિણીત છું અને મારા પતિ દર્શન હોટલ ઇન્ડસ્ટ્રીમાં છે ને નાનો દીકરો છે. પરિવારમાં સાસુ-સસરા ને નણંદ છે.' 'ભણવું ઘણું જ ગમતું'માહી સ્કૂલિંગ દિવસોને યાદ કરતાં જણાવે છે, 'નાનપણમાં મને અન્ય બાળકોની જેમ ભણવાનો કંટાળો નહોતો આવતો, પરંતુ મને ભણવું ઘણું જ ગમતું. મારા હેન્ડરાઇટિંગ પણ ઘણાં જ સારાં હતાં. આટલું જ નહીં, મને સ્કૂલની દરેક ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેવો ગમતો. સ્કૂલની એક પણ એવી એક્ટિવિટી ના હોય, જેમાં મેં ભાગ ન લીધો હોય. નાની હતી ત્યારે સો.મીડિયામાં કંઈક કરીશ તેવું વિચાર્યું નહોતું. હા, ત્યારે એવી ઈચ્છા હતી કે જર્નલિઝમનો કોર્સ કરીને જર્નલિસ્ટ બનું. જોકે, તે સમયે પેરેન્ટ્સ સપોર્ટ ના કર્યો, કારણ કે એમને આ ફીલ્ડ અંગે ખાસ કંઈ ખ્યાલ નહોતો તો તેમણે ના પાડી દીધી. પછી તો MBA કર્યું ને મેરેજ થઈ ગયા. લગ્ન બાદ પતિએ દરેક બાબતમાં સપોર્ટ કર્યો એટલે ત્યાં મને કોઈ જાતની રોકટોક નહોતી એટલે મારી ઈચ્છા પ્રમાણે હું કરી શકતી.' 'અમે કોલેજમાં સાથે ભણતાં'માહીને લગ્ન અંગે સવાલ કરતાં જ રતુંબડા ગાલ સાથે તે કહે છે, 'હું ને દર્શન ગાંધીનગરમાં કોલેજમાં સાથે હતાં. હું બીબીએ કરતી હતી અને તે બી.કોમ. કરતા પણ અમારું કોલેજ કેમ્પસ એક જ હતું. ત્યારથી અમારી વચ્ચે ફ્રેન્ડશિપ સ્ટાર્ટ થઈ. અમારી મુલાકાતની વાત કરું તો દર્શન ને મારા ભાઈનો કોમન ફ્રેન્ડ હતો અને એના થ્રૂ જ અમે બંને મળ્યાં. ફ્રેન્ડશિપ ક્યારે પ્રેમમાં પરિણમી તે તો અમનેય ખ્યાલ જ ના રહ્યો. બીબીએ પૂરું કર્યું ને પછી મેં અમદાવાદથી એમબીએ કર્યું.' 'લગ્નમાં ઘણી અડચણો આવી''હું બ્રાહ્મણ ને દર્શન પટેલ હોવાથી મારા પપ્પા ને દર્શનનાં મમ્મી કોઈ કાળે આ લગ્ન માટે તૈયાર નહોતાં. અમે બંનેએ મનાવવાના બહુ જ પ્રયાસ કર્યા, પણ તેઓ માન્યાં જ નહીં. અંતે અમે અલગ થઈ ગયાં. અમે છ મહિના સુધી એકબીજા સાથે વાત સુદ્ધાં ના કરી. આ દરમિયાન અમને એકબીજા અંગે કશી જ જાણ નહોતી, પણ કહેવાય છે ને કે નસીબમાં જે લખ્યું હોય તે જ થાય. અમે બંનેએ લગ્ન માટે પાત્રો જોવાનાં પણ શરૂ કરી દીધાં હતાં. હું તો જે પણ છોકરો જોવા આવે તેને સીધું કહી જ દેતી કે હું બીજા છોકરાના પ્રેમમાં છું તો સામે દર્શન છોકરીને કંઈ કહી ના શકે, પરંતુ તે છોકરીઓ પસંદ કરે જ નહીં. અમને બંનેને તે સમયે મનમાં એવું હતું કે પેરેન્ટ્સ માનતાં નથી તો હવે લગ્ન કેવી રીતે કરવાં. અમે બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. અમારે એ નક્કી હતું કે ભાગીને તો લગ્ન કરીશું જ નહીં, પેરેન્ટ્સની સંમતિ હશે તો જ કરીશું. આ રીતે છએક મહિના પસાર થયા. અચાનક એક દિવસ મને દર્શનનાં માસીના દીકરાનો ફેસબુક પર મેસેજ આવ્યો. તેમણે પૂછ્યું કે તારે ખરેખર દર્શન સાથે લગ્ન કરવાં જ છે? મેં તો તરત જ હા પાડી. માસીના દીકરાને દર્શનની પરિસ્થિતિ ખ્યાલ હતી તે ઘણો જ ઉદાસ રહેતો. માસીના દીકરાના પ્રયાસથી મેં ને દર્શને ફરી વાત કરવાનું ચાલુ કર્યું. પછી પેરેન્ટ્સને મનાવવા ફરી પ્રયાસો કર્યા. પેરેન્ટ્સ કોનું કહ્યું માને છે તે વડીલોનાં નામ વિચાર્યાં ને તેમને મનાવ્યાં. આ વડીલોએ પછી અમારાં પેરેન્ટ્સને મનાવ્યા ને છેલ્લે બંને પરિવારો મળ્યા ને ફાઇનલી લગ્ન નક્કી થયાં.' 'પપ્પા મારી સાથે બોલતા નહોતા''મારા પપ્પા ઘણા જ સ્ટ્રિક્ટ છે. તેઓ બ્રાહ્મણ સમાજના આગેવાન અને તેમની જ દીકરી નાત બહાર લગ્ન કરે તે વાત તેમને ગમે નહીં, પણ ઘરના બધા માની ગયા હતા એટલે તેમને માન્યા સિવાય છૂટકો નહોતો. આ જ કારણે પપ્પાએ મારી સાથે બોલવાનું તદ્દન બંધ કરી દીધું હતું. એક જ ઘરમાં રહેવા છતાં પપ્પા મારી સાથે એક શબ્દ બોલે નહીં. મને આ વાતને કારણે ઘણું જ ટેન્શન રહેતું, પરંતુ પરિવારે એમ કહીને સાંત્વના આપી કે બીજા માની ગયા છે તો તું આ અંગે બહુ વિચારીશ નહીં. તારા પપ્પા પણ આજે નહીં તો કાલે માની જ જશે. મેં પણ આ વાત સ્વીકારી લીધી. લગ્નનો દિવસ આવ્યો, ફેરા ફર્યા પણ પપ્પા ત્યાં સુધી મારી સાથે બોલે નહીં. છેલ્લે મારી વિદાયનો સમય આવ્યો. તે દિવસે હું પપ્પાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને પપ્પા પણ એકદમ ભાવુક થઈ ગયા. વિદાય દરમિયાન અમારી વચ્ચેના અબોલા તૂટ્યા ને પપ્પા ફરી મારી સાથે વાત કરવા લાગ્યા.' 'લગ્ન બાદ પાંચ વર્ષ જૉબ કરી'માહી કહે છે, 'મેરેજ થઈ ગયાં ને મેં કોર્પોરેટ કંપનીમાં પાંચ વર્ષ HRની જૉબ કરી. પછી મેટરનિટીની લીવ લીધી ને ત્યારબાદ જૉબ રિઝ્યૂમ જ કરી નહીં. મારા સાસુ-સસરા વિસનગર રહે અને હું ને દર્શન અમદાવાદ એકલાં રહીએ. આ જ કારણે દીકરાની સંભાળ કોણ રાખે? મને એવું હતું કે મારું બાળક મારા હાથે જ મોટું થાય. એના માટે કોઈ આયા કે નેની મારે રાખવી નહોતી. આ દરમિયાન અચાનક જ કોરોના આવી ગયો અને અમે વિસનગર જતાં રહ્યાં.' 'કોરોનાને કારણે ઘરે બેસવાનો વારો આવ્યો'કોરોનાને કારણે આખો દિવસ ઘરમાં જ બેસી રહેવાનું થયું. આખો દિવસ ઘરમાં કરવું શું? મેં ને દર્શને પછી માત્ર મસ્તી ખાતર વીડિયો બનાવવાના શરૂ કર્યા ને આજે તો અમે હાઇલી પ્રોફેશનલી વીડિયો બનાવીએ છીએ. તે સમયે ટિકટોક ચાલતું હતું અને અમે પહેલો વીડિયો ટીકટોકમાં જ બનાવ્યો. ત્યારે સ્લો મોશનના વીડિયો ચાલતા. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી અમે પાઉડર ઉછાળવાનો સ્લો મોશનમાં વીડિયો બનાવ્યો હતો. ટિકટોકમાં અમે આવા જ વીડિયો બનાવ્યા અને તે ઘણા જ ચાલતા. અમે સોંગ અને સ્લો મોશનમાં બિટ્સ મેચ કરીને વીડિયો બનાવતા. ટિકટોકના બધા જ વીડિયો અમે ગામડે જ બનાવ્યા હતા. આ સમયે અમે ઇન્સ્ટા કે યુ ટ્યૂબ પર કોઈ વીડિયો પોસ્ટ કરતા નહોતા. ટિકટોકમાં અમારા બે લાખ જેટલા ફોલોઅર્સ હતા. પછી તો તેના પર બૅન આવ્યો અને તે આખો દિવસ અમે બંને ઘણા જ દુઃખી રહ્યાં હતાં.' 'ઇન્સ્ટામાં પોપ્યુલર થઈ''ટિકટોક તો બંધ થઈ ગયું પણ અમે વીડિયો બનાવવાના બંધ કર્યા નહીં અને હવે અમે ઇન્સ્ટામાં વીડિયો મૂકવાના શરૂ કર્યા. આ સમયે હું મોડલિંગ પણ કરતી. ટિકટોકના જૂના વીડિયો જ અમે ઇન્સ્ટામાં પોસ્ટ કરવાની શરૂઆત કરી ને અમારી પોસ્ટ સારી એવી વાઇરલ થવા લાગી. પછી તો લાગ્યું કે આમાં જ કંઈક આગળ કરાય અને અમે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું. એક લાખ ફોલોઅર્સ થતાં જ બ્રાન્ડ્સ સામેથી આવવા લાગી ને અમે પેઇડ પ્રમોશન શરૂ કર્યું. આજના સમયે સો.મીડિયામાં જ માર્કેટિંગ થાય છે. પછી તો એક પછી એક બ્રાન્ડ્સ આવવા લાગી. સાથે સાથે અમે એન્ટરટેઇનમેન્ટના વીડિયો પણ મૂકતા. ધીમે ધીમે મારા પતિ પણ મારી સાથે વીડિયો બનાવતા. છેલ્લાં બે વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ.' 'સાસુમાને શરૂઆતમાં વીડિયોમાં કામ કરું તે પસંદ નહોતું'માહીને પૂછવામાં આવ્યું કે સાસુ-સસરાનું રિએક્શન કેવું હતું તો જવાબમાં તે કહે છે, 'અમે શરૂઆતમાં તો ગામડે જ હતાં એટલે તેમને ખ્યાલ જ હતો ને અમે તેમને વીડિયો પણ બતાવતા. તેઓ હજી પણ થોડા જુનવાણી છે પણ સમય સાથે તેમનામાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. હું પહેલાં તો સાડી પહેરીને જ વીડિયો બનાવતી એટલે તેમને શાંતિ હતી કે ઘરની વહુ આમન્યામાં રહીને જ કામ કરે છે. પાછું હું તેમના દીકરા એટલે કે મારા પતિ સાથે જ વીડિયો બનાવતી એટલે પણ તેમને કોઈ વાંધો નહોતો. એ વાત છે કે ટિકટોકના વીડિયોમાં તેમને કંઈ વાંધો નહોતો, પણ જ્યારે તેમને એ વાતની ખબર પડી કે હવે અમે આમાં પ્રોફેશનલી આગળ વધી રહ્યાં છીએ તો તેમનું થોડું ગમ્યું નહોતું. આસપાસના લોકો પણ કહેવા લાગ્યા કે તમારી વહુ તો આવા આવા વીડિયો બનાવે છે. આવા વીડિયોમાં તો કામ જ ના કરાય. મારાં સાસુ ગાયત્રી સંપ્રદાયમાં વધુ માને છે તો તેઓ થોડાં આધ્યાત્મિક એટલે તેમને આ બધું ગમે નહીં. તેઓ આ વાત સ્વીકારી શકતાં નહોતાં.' 'સાસુને વિશ્વાસ અપાવ્યો''પછી તો મેં ને દર્શને સાથે બેસીને આ મુદ્દે તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરીને વિશ્વાસ અપાવ્યો કે અમે ક્યારેય એવું કંઈ જ નહીં કરીએ કે આપણા ઘરની સમાજમાં બદનામી થાય. મેં તેમને એ પણ કહ્યું કે હું તમારા છોકરા સાથે જ વીડિયો બનાવું છું એટલે તમે કોઈ ટેન્શન ન લો. પછી તો મારા સાસુ ટેન્શન ફ્રી થઈ ગયાં ને અમે વીડિયો બનાવવાનું ચાલુ જ રાખ્યું. એક વાત છે કે મારા વીડિયો નાનાથી માંડીને દાદા-દાદી પણ જોઈ શકે છે. અમારા વીડિયોમાં ક્યારેય શોર્ટ કપડાં કે એવી વાતો આવતી નથી કે કોઈને શરમ અનુભવાય. આ જ કારણે મારા પરિવારને કોઈ વાંધો નથી.' 'મોડલિંગ પણ કર્યું'મોડલિંગ કરિયરને યાદ કરતાં માહી કહે છે, 'મારું સર્કલ જ એવું છે અને એમાંથી જ કોઈક જાણીતાએ મારો સંપર્ક કર્યો ને મારી કરિયર શરૂ થઈ. હું ફેશન મોડલિંગ નહોતી કરતી, હું એથનિક વેઅર પર જ મોડલિંગ કરતી. સૌથી વધારે સાડીમાં મોડલિંગ કર્યું છે. સુરતમાં મોટાભાગની સાડીની બ્રાન્ડમાં મારું જ નામ છે. સુરતની લગભગ બધી જ સાડીઓ મારા ઘરે મોડલિંગ માટે આવતી. હું એક દિવસમાં 60-70 સાડીઓ પહેરીને શૂટ કરતી. સુરતમાંથી મને બોક્સનાં બોક્સ સાડી ભરીને આવે અને પછી હું મારા ઘરે જ એક પછી એક સાડી પહેરીને ફોટો ક્લિક કરાવતી. સાડી પહેરાવવા માટે ડ્રેપર પણ આવતા. ઘરે શૂટ કરીને સાડી પછી પાર્સલ કરી દેવાની ને ફોટો સુરત મોકલી દેવાના. આ માટે મારી એક અલગ ટીમ હતી. સતત આખો દિવસ આ રીતે સાડી બદલતા રહેવાની હોય એટલે બહુ જ થાક લાગે. એક સાડીમાં ચારથી પાંચ પોઝ આપવાના. સવારે પાંચ વાગ્યે ઊઠી જતી. તૈયાર થઈને સવારના સાત વાગ્યે શૂટ શરૂ થાય કે સાંજના સાત વાગ્યા સુધી સતત ચાલે. શૂટિંગ બાદ ખાવાના હોશ પણ ના રહે ને સીધું સૂઈ જવાની ઈચ્છા થાય. આ રીતે ત્રણ દિવસ શૂટ કરીએ. હવે હું મોડલિંગ કરતી નથી, કારણ કે મોડલિંગ દરમિયાન હું બાળકને ટાઇમ આપી શકતી નહોતી. સાચું કહું તો હાલ તો ઇન્સ્ટામાંથી જ ટાઇમ મળતો નથી. પ્રમોશન ઉપરાંત અમારું ઓરિજિનલ કન્ટેન્ટ પણ બનાવું પડે. માત્ર પ્રમોશનલ રીલ્સ પોસ્ટ કરી શકીએ નહીં. પછી તો ઇન્સ્ટાનું અલ્ગોધિરમ પર ખોરવાઈ જાય. મોડલિંગ કરવામાં બધું જ મેનેજ થતું નહોતું એટલે છોડી દીધું.' 'પહેલી કમાણી પાંચ હજાર રૂપિયા હતી''શરૂઆતમાં તો હું ને મારા પતિ બે જ હતા. શૂટ પણ જાતે જ કરતા અને એડિટિંગ પણ ફોન પર કરતા. હવે એડિટર, વીડિયોગ્રાફર, ફોટોગ્રાફર એ રીતે ચાર-પાંચ લોકોની ટીમ છે. ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો અમે તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી હતી. અમારી પાસે ફોન તો હતો જ ને વીડિયો શૂટ કર્યા. કમાણીની વાત કરું તો તે ફોલોઅર્સ પર આધાર રાખે છે, પરંતુ મને ઇન્સ્ટામાંથી પહેલી કમાણી બ્રાન્ડ માટે પાંચ હજાર મળ્યા હતા.' માહી પટેલે એમ પણ જણાવ્યું, 'હું હંમેશાં મારી કમાણીનો કેટલોક ભાગ અલગ રાખીને જરૂરિયાતમંદને મદદ કરતી હોઉં છું. મને અંગત રીતે દાન-પુણ્ય કરવું ગમે છે અને તેથી જ દર મહિને અમુક પૈસા અલગથી રાખું છું.' 'એક સમયે કુર્તી પણ વેચતી'માહી વધુમાં કહે છે, 'મને નાનપણથી ઘરે શાંતિથી બેસવાની ટેવ નહોતી. હું હંમેશાં કંઈક ને કંઈક કામ કરતી. શરૂઆતમાં જૉબ કરી અને પછી ઘરેથી કુર્તી વેચવાનો બિઝનેસ પણ કર્યો. મને ક્લોધિંગનો ગાંડો શોખ છે અને મને નવાં નવાં કપડાં પહેરવાં ઘણાં જ ગમે. મને કપડાં રીપિટ કરવાં બહુ જ ઓછાં ગમે. ભવિષ્યમાં મારે ક્લોધિંગનો બિઝનેસ કરવો છે. ખરી રીતે તો, મારી ઓડિયન્સ પણ મને કપડાંથી જજ કરતી હોય છે. આ ઉનાળામાં હું 'મોરપિચ્છ બાય માહી' નામથી ઓનલાઇન યુનિક ને ડિઝાઇનર ક્લોધિંગ બ્રાન્ડ લૉન્ચ કરીશ. મારા પતિને જમવાનો શોખ છે તો તે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે. મને નાનપણથી વાંચવા કરતાં લખવાનો ઘણો જ શોખ છે.' 'શરૂઆતમાં સ્ક્રિપ્ટ લખતાં, હવે તો આસપાસની ઘટના પરથી વીડિયો બનાવીએ'માહીને પૂછવામાં આવ્યું કે વીડિયોના આઇડિયા કેવી રીતે આવે છે તો તેમણે કહ્યું, 'અમે બંને એક્ટર જેવાં જ છીએ અને અમારા વિચારો પણ એવા જ છીએ. શરૂઆતમાં સ્ક્રિપ્ટ વિચારવી, લખવી ને પછી શૂટ કરવું.. આ બહુ જ કોમ્પ્લિકેટેડ લાગતું. બીજાના વીડિયો જોયા તો ખ્યાલ આવ્યો કે સ્ક્રિપ્ટ વગર આસપાસની ઘટના પરથી જ વીડિયો બનાવવાના છે તો અમે પણ એ જ રીતે શરૂ કર્યું. હવે અમારું મગજ જ એ રીતે ટેવાઈ ગયું છે કે આસપાસ કંઈક થાય તો તરત જ આઇડિયા આવી જાય કે આના પરથી રીલ બનશે કે નહીં! અમે અમારી લાઇફસ્ટાઇલ વધારે બતાવીએ છીએ ને અમારું જીવન તો ખુલ્લી કિતાબ જેવું બની ગયું છે.' 'છ મહિના પહેલાં જ સિલ્વર બટન મળ્યું''શરૂઆતમાં અમારે રીટેક વધારે થતા, એક્ટિંગ ના ફાવે કે ડાયલૉગ્સ બોલવામાં લોચા પડે પણ હવે તો કંઈ જ વાંધો આવતો નથી. પ્રમોશનલ રીલ્સમાં થોડો વાંધો આવે, કારણ કે તેમના શબ્દો અલગ હોય એટલે વાર લાગે. હમણાં જ એક આઈ હૉસ્પિટલ પર રીલ બનાવી હતી તો તેના ટેક્નિકલ શબ્દો પહેલી જ વાર સાંભળતાં હોઈએ એટલે રીટેક થાય, બાકી એક્ટિંગમાં તો ક્યારેય સમસ્યા આવતી જ નથી. એક રીલ બનાવવામાં અમારે બેથી ત્રણ કલાક જેટલો ટાઇમ જાય. યુ ટ્યૂબમાં અમે જે ઇન્સ્ટામાં મૂકીએ તે જ પોસ્ટ કરી દઈએ. યુ ટ્યૂબ તરફથી છ મહિના પહેલાં જ સિલ્વર બટન મળ્યું હતું.' 'સફળતાને પૈસા સાથે મૂલવી નથી'માહીને સફળતા અંગે સવાલ કરતાં જ તેમણે કહ્યું, 'મેં ક્યારેય સફળતાને પૈસા સાથે મૂલવી નથી. હું આજે જ્યારે ઘરની બહાર નીકળું ત્યારે ભાગ્યે જ એવું બને કે કોઈ મને ઓળખ્યું ના હોય. મને સામેથી લોકો બોલાવીને કહે છે, તમે માહી પટેલ છો ને... આ ફીલિંગ જ અલગ છે. પુરુષો ને છોકરાઓ જલ્દીથી ફોટો ક્લિક કરાવવા આવતા નથી પણ તેઓ એકવાર તો પૂછી જ લે કે તમે માહી છો ને? યુઝર્સનો આ પ્રેમ જ મારા માટે સેલરી છે. એમનો પ્રેમ જ સર્વસ્વ છે. અત્યાર સુધી 800થી વધારે વીડિયો બનાવ્યા છે. હું ટ્રાય કરું કે રોજ એક વીડિયો પોસ્ટ કરું.' 'ક્યારેક તો પતિ સાથે ઝઘડો થઈ જાય'શૂટિંગની વાત કરતાં માહી જણાવે છે, 'ઘણીવાર તો મારે બોલવામાં લોચા પડી ગયા હોય ને ક્યારેય બોલવાનું કંઈક અલગ હોય ને બોલાય કંઇક બીજું જાય. ઘણીવાર તો હું ને મારા પતિ દર્શન બંને કેટલીક બાબતો પર રકઝક કરવા લાગીએ તો શૂટિંગ જ અધૂરું મૂકી દઈએ તો ઘણીવાર શૂટિંગ પહેલાં જ અમારી વચ્ચે દલીલો થઈ જાય તો હું શૂટિંગ કરવાની જ ચોખ્ખી ના પાડી દઉં. એકવાર નવરાત્રિનું ફાઇનલ શૂટ કરવાનું હતું ને બધી જ તૈયારી કરી લીધી. અમે જ્યાં શૂટિંગ કરવાનું હતું ત્યાં ગયા, પણ અચાનક જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અને અમે ટેન્શનમાં આવી ગયા. વરસાદ તો બંધ થયો નહીં ને અમને ખર્ચો માથે પડ્યો. પછી તો શૂટિંગ રિ-શિડ્યૂઅલ કર્યું અને ફટોફટ શૂટિંગ પતાવ્યું. ઘણીવાર તો એવું બન્યું છે કે આઉટડોર શૂટિંગ માટે કોઈક મૉલ કે પછી બીજે ગયાં હોઈએ ત્યારે બધા ઓળખી જાય તો સેલ્ફી માટે પડાપડી કરે ને ભીડ ભેગી થઈ જાય. આ જ કારણે અમે ઘણીવાર શૂટિંગ કર્યા વગર જ ઘરભેગાં થઈ જઈએ અથવા તો બીજી જગ્યાએ જઈએ. સાચું કહું ને જો અમે આ વીડિયોના BTS નાખીએ તો તે વધારે ચાલે એમ છે.' 'કોમિક પર વધુ ફોકસ કરો'માહી નવા કન્ટેન્ટ ક્રિએટર્સને સલાહ આપતાં કહે છે, 'સૌથી પહેલાં તો એ છે કે તમે તમારી પોતાની આર્ટને જાણો. જે તમને ગમે છે તેને ઓળખો.જો તમારા બોલવાથી કે કોમિક એક્સપ્રેશનથી કોઈ હસી પડતું હોય તો મતલબ કે તમારામાં કોમેડીની આવડત છે. આવું હોય તો તમે કોમેડી ઝોન પર આવી શકો. ઈમોશનલ વીડિયો કે સારું રાઇટ હોય તો તમે ઇમોશનલ વીડિયો બનાવી શકો છો. આ ઉપરાંત આજકાલ ઘણા લોકો શાયરી કરતા હોય છે. આ બધું બધાને બહુ અટેચ કરે છે. આ ઉપરાંત ડાન્સિંગની ફિલ્ડમાં રસ હોય તો ત્યાં જઈ શકાય. સોશિયલ મીડિયાના માધ્યમથી નાનો બિઝનેસ પણ શરૂ કરી શકાય. સો. મીડિયામાં જ માર્કેટિંગ કરીને બિઝનેસ વધારી શકાય. બની શકે કે આમાં થોડો સમય લાગે પણ સતત કરો એટલે વાંધો નહીં આવે. હાલ તો સૌથી વધારે કોમિક વીડિયો ચાલે છે, કારણ કે અત્યારે બધાની લાઇફ ઘણી જ સ્ટ્રેસમાં છે. લોકો મૂવી જોવા ના પણ જાય, પરંતુ રીલ જોવાનું ક્યારેય ભૂલતા નથી. આ જ કારણે કોમિક પર વધારે ફોકસ કરશો તો જલ્દીથી વાઇરલ થવાશે.' 'હવે સો. મીડિયા અર્નિંગ બેઝ થવા લાગ્યું'માહી સો. મીડિયામાં આવેલાં પરિવર્તન અંગે જણાવે છે, 'અમે જ્યારે 2020માં શરૂ કર્યું ત્યારે લિપસિંકના (બીજાના ડાયલોગ કે સોંગ પર પોતાના હોઠ ફફડાવીને એક્ટિંગ કરવાના) વીડિયો ઘણા જ ચાલતા, પરંતુ હવે એવા વીડિયો ખાસ ચાલતા નથી. લિપસિંકના વીડિયોમાં વ્યક્તિ તરીકે તમારો ગ્રોથ પણ થતો નથી. મને પણ લાગ્યું કે મારામાં ટેલેન્ટ છે તો મારે કેમ લિપસિંકના વીડિયો બનાવવા જોઈએ. અત્યારે વ્યક્તિ પોતાની અંદર રહેલી આર્ટને વધુ બતાવે છે, પછી તે ડાન્સિંગ હોય કે કોમિક કે એજ્યુકેશન કે રિસર્ચ કે નોલેજ કે કંઈ પણ... આ બધું જ હવે પ્રોફેશનલી ને અર્નિંગ બેઝ પર થવા લાગ્યું છે. ' 'પતિએ ઘણો જ સપોર્ટ કર્યો'માહીના મતે, 'દર્શન પ્રોફેશનલી ને પર્સનલી બંને રીતે ઘણો જ સપોર્ટ કરે છે. જ્યારે લગ્ન કર્યાં ત્યારે બધા કહેતા કે લવમેરેજ પછી લાઇફ ઘણી જ બદલાઈ જાય છે, પરંતુ મારી લાઇફસ્ટાઇલમાં થોડો પણ ફેરફાર આવ્યો નથી અને તેનો શ્રેય દર્શનને જ જાય છે. દર્શન અમદાવાદમાં જ હોટેલ ચલાવે છે અને તે અત્યારે ઓટો મોડ પર છે અને અમે બંને હાલમાં સો. મીડિયા પર જ વધારે ફોકસ કરીએ છીએ.' 'પરિવાર સાથે હોય તે કરવું છે'ડ્રીમની વાત આવતાં જ માહી એકદમ હસી પડે છે અને કહે છે, 'પહેલાં તો મારે એક્ટિંગ ફિલ્ડમાં જવું હતું અને મેં વર્કશોપ પણ કરી હતી. વર્કશોપમાં મારી એક્ટિંગના ઘણાં જ વખાણ કરવામાં આવ્યાં હતાં. જોકે, પછી મને લાગ્યું કે કોઈ પણ ફિલ્મના શૂટિંગમાં જઈશ તો એકાદ-બે મહિના ઘરથી દૂર રહેવું પડે. મને હંમેશાં મારા બાળકનો પહેલા વિચાર આવે. પતિએ ક્યારેય કોઈ વાતમાં રોકટોક કરી નથી. તેમણે હંમેશાં જે કરવું હોય તે કરવાની વાત કરી છે અને મને તમામ રીતે સપોર્ટ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપશે તે નક્કી છે. મને એવું છે કે હું જે પણ કરું તેમાં મારો પરિવાર સાથે હોય. જીવનમાં ક્યારે શું થશે તે નક્કી હોતું નથી એટલે જે પણ કરું તે સાથે કરું ને સાથે જીવીએ. મારા શોખ પણ સાથે કરું ને મારા ફેમિલી સાથે લઈને જ કરું. આ જ કારણે હું આ પ્લેટફોર્મ પર છું. મારો પરિવાર પણ વિખરાય નહીં ને મારી પોતાની ઈચ્છા પૂરી કરી શકું.' 'સમય મળે ત્યારે રીલ બનાવીએ''પહેલાં હું બહુ જ વીડિયો બનાવતી. પછી એવું નક્કી કર્યું કે વીકમાં એક દિવસ એવો રાખતા કે આખો દિવસ કપડાં બદલી બદલી ને રીલ્સ બનાવાની અને રોજ એક પોસ્ટ કરવાની. એટલા બધા વીડિયો બનાવી નાખ્યા છે કે હવે તો અમારી પાસે સ્ક્રિપ્ટ પણ સાવ ઓછી હોય તેમ લાગે. જેમ જેમ વિચાર આવે તેમ તમ રીલ બનાવીએ. હું ઇમોશનલ ટચ પર વધારે જાઉં ને મારા પતિ કોમેડી વીડિયો વધારે બનાવે. અમે કોઈક દિવસ બધાને હસાવી દઈએ તો ક્યારેક રડાવી પણ દેતા હોઈએ છીએ. ગમે ત્યારે વિચાર આવે એટલે રીલ બનાવીએ. એક દિવસની આટલી કે વીકની આટલી એ રીતે સંખ્યા નક્કી કરી નથી. કોઈ મેરેજમાં ગયા ને ત્યાં ઓબ્ઝર્વેશન કરીએ તો તેના પરથી રીલ્સ બનાવીએ. ઘણા લોકો રોજની એક રીલ્સ મૂકવાની એવું કરે છે પણ અમને તો ઈચ્છા થાય તેમ કરીએ. અમે ટ્રાય કરીએ પણ દીકરાને સાચવવાનો હોવાથી સમય મળે તો કરીએ.' 'સીએમ તો ડાઉન ટુ અર્થ છે'થોડા સમય પહેલાં જ માહી ધોરડો ટેન્ટ સિટીમાં ગઈ હતી અને ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનું થયું હતું. માહીએ કહ્યું, 'સીએમને મળીને લાગ્યું જ નહીં કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ ઘણા જ એટલે ઘણા જ ડાઉન ટુ અર્થ લાગ્યા. તેઓ ઘણી જ વિનમ્રતાથી વાત કરે છે.'

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:00 am

એમ.કે. હવે ગુજરાતના નવા કે.કે.?:IASની બદલીઓમાં કોણ સાઇડલાઇન ને કોનું કદ વધ્યું? CMOમાંથી અવંતિકાસિંઘની એક્ઝિટે ચોંકાવ્યા

ગુજરાત સરકારે આખરે અપેક્ષા મુજબ સિનિયર IAS અધિકારીઓની સાગમટે બદલીઓ કરી દીધી છે.આ બદલીઓ સાથે જ ટીમ એમ.કે.દાસ બનાવવામાં આવી છે. તેમનો મુખ્ય સચિવ તરીકેનો ડિસેમ્બર-26 સુધીનો કાર્યકાળ છે. મનોજ કુમાર દાસ સરકાર અને PM મોદીના વિશ્વાસુ હોવાની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોડી બનાવીને કામ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, તેઓ કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન કરવામાં માહેર છે. એક સમયે જે રીતે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને કે.કે.(કુનિયલ કૈલાસનાથન)ની જોડી હતી એ જ રીતે હવે ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે.દાસની પેર બની ગઈ છે. આમ એમ.કે હવે બીજા કે.કે. બનવા તરફ જઈ રહ્યા છે. 26 સિનિયર IASની થયેલી આ બદલીઓમાં કેટલાય નામો અને જે જગ્યાએ બદલી થઈ તેને લઈને પણ જબરજસ્ત ચર્ચા અને આશ્ચર્ય ફેલાયું છે. જો કે, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, સરકાર સારું કામ કરનારા અધિકારીઓની કદર તો કરે જ છે. તેની સાથો સાથ સરકારનું કહ્યું નહી કરનારા એટેલે કે હાજી...હા...નહીં કરનારા અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ આપવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. જાન્યુઆરીમાં પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીઓના તેમજ અમુક સેક્રેટરીઓના પ્રમોશનો આવવાના હોય હજુ વધુ બદલીઓ થવાની પૂરી શક્યતા છે. આ પણ વાંચો: મંત્રીમંડળ બાદ બ્યૂરોક્રેસીમાં મોટો ઊલટફેર, 26 સિનિ. IASની બદલી CMOમાંથી અવંતિકાસિંઘની એક્ઝિટ,સંજીવકુમારની એન્ટ્રીએ ચોંકાવ્યાબે ડઝનથી વધુ IAS અધિકારીઓની બદલીમાં સૌથી વધુ આશ્ચર્ય અને આંચકો આપે તેવા બે નામ છે. જેમાં સીએમઓમાં વર્ચસ્વ ધરાવતા અવંતિકાસિંઘ મુખ્ય છે. કારણ કે તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી ન હોવા છતાં તેમને ખાસ કેસમાં પ્રમોશન આપીને મુખ્યમંત્રીના અગ્ર સચિવ બનાવાયા હતા. જ્યારે બીજું આશ્ચર્ય સંજીવકુમારનું છે. તેમને સીએમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે. આ ઉપરાંત ગૃહનો મહત્વનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. તેમનાથી સિનિયર અધિકારી હોવા છતા તેમને હોમ અપાતા ગણગણાટ પણ શરુ થયો છે. રાજેન્દ્ર્કુમારને ટુરીઝમમા પ્રેઝન્ટેશનનો 70-30નો રેશિયો નડી ગયો…ટુરીઝમના સેક્રેટરી પદેથી રાજેન્દ્રકુમારની બદલી કરી દેવાઈ છે. જેને લઈને સચિવાલયમાં એવી ચર્ચા છે કે, છેલ્લા કેટલાક સમયથી ટુરીઝમના કેટલાક ટેન્ડરમાં પ્રેઝન્ટેશનમાં 70-30,60-40નો રેશિયો રખાતો હતો. એટલે કે વધુ ભાવ ભરનારી એજન્સીઓને પ્રેઝન્ટેશનમાં વધુ માર્કસ આપીને ટેન્ડર અપાતા હતા. આ સંદર્ભમાં ફરિયાદ અને આરટીઆઈ પણ ચાલી રહી છે. અશ્વિનીકુમાર-વિક્રાંત પાંડેની કદર કરી વધુ જવાબદારી સોંપાઈસ્પોર્ટસ સેક્રેટરી તરીકે અશ્વિનીકુમારનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. ખાસ કરીને દેશને કોમનવેલ્થની યજમાની અપાવવામાં તેઓએ સ્પોર્ટસ મંત્રી સાથે ટીમને લીડ કરીને સફળતા અપાવી છે. આથી સરકારે તેમને એનર્જી અને પેટ્રોકેમિકલ જેવું ખૂબ જ મહત્વનું ડિપાર્ટમેન્ટ સોંપી દીધુ છે. આજ રીતે થોડા સમય પહેલા જ સીએમઓમાં સેક્રેટરી તરીકે મુકાયેલા વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે મુકાયા છે. તેમજ માહીતી ખાતાનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. સૌથી સિનિયર અરૂણકુમાર-આરસી મીણાની હાલત જૈસે થેહાલમાં મુખ્ય સચિવ પછી સૌથી સિનિયર ગણાતા અરૂણકુમાર સોલંકીને ફરીથી સાઈડ પોસ્ટિંગમાં મુકાયા છે. તેમને એગ્રીકલ્ચર અને ફાર્મર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટની જવાબદારી સોંપાઈ છે. ખરેખર તો હોમ ડિપાર્ટમેન્ટમાં તેમની નિમણૂંક થવી જોઈએ એવુ બ્યુરોક્રેટસમાં સૌ કોઈ માની રહ્યા છે. ડેપ્યટેશન પરથી આવી CMOમાં ગોઠવાયાતાજેતરમાં જ દીલ્હીથી ડેપ્યુટેશન પરથી ગુજરાતમાં પરત ફરેલા અજયકુમારને સીધા જ સીએમઓમાં સેક્રેટરી તરીકે મુકી દેવાયા છે. આ અગાઉ વિક્રાંત પાંડેની પણ આ જ રીતે નિયુક્તિ થઈ હતી. દીલ્હીમાં તેઓએ સારું કામ કરવાની સાથે વડાપ્રધાનના વિશ્વાસુ હોવાથી તેમને સીએમઓમાં મુકાયા છે. હારિત શુક્લાને SIRની કામગીરી ફળીભૂતકાળમાં ટુરીઝમ સહીતના અનેક ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા પ્રિન્સિપલ સેક્રેટરી હારિત શુક્લાને છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતના ચૂંટણી કમિશનર બનાવીને સાઈડલાઈન કરાયા છે. જો કે, સરની કામગીરી ખૂબ જ સફળતાથી અને ઝડપથી કરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ખાસ કોઈ મોટો વિવાદ પણ થયો નથી. આખરે સરકારે આ અધિકારીને પોર્ટ જેવી મહત્વની પોસ્ટની વધારાની જવાબદારી સોંપી છે. જ્યારે કુલદીપ આર્યનને પણ ટુરીઝમમા મુકીને તેમની કદર કરાઈ હોવાની ચર્ચા છે. આ અધિકારીઓ ફરીથી સાઈડલાઈન છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમાર અને ધનંજય દ્વીવેદીને સાઈડલાઈન જ કરાતા આવ્યા છે. જો કે, ઘણો લાંબો સમય પછી સરકારે બે વર્ષ પહેલા ધનંજય દ્વીવેદીને હેલ્થ જેવું મહત્વનુ ખાતું આપ્યું હતુ. જ્યારે હવે તેમને ફરીથી પંચાયત જેવું ખાતું સોંપી ફરીથી સાઈડલાઈન કરી દેવાયા છે. તેમણે હેલ્થમાં ઘણી જ મહત્વની કામગરી કરી હતી. પરંતુ કેટલાક ટેન્ડરોમાં તેઓએ મંત્રીને મચક આપી નહોતી. તેઓ ખોટુ કામ ચલાવી લેવામાં માનતા નથી. આવી જ હાલત મુકેશ કુમારની છે. તેઓને અગાઉ હાયર એજ્યુકેશનમાંથી બદલીને પ્રાઈમરી એજ્યુકેશનમા મુકાયા હતા. સુનયના તોમરની બદલી થયા બાદ તેમનો હાયર એજ્યુકેશનનો વધારાનો હવાલો પણ મુકેશ કુમાર પાસે જ હતો. હવે ફરીથી તેમને હાયર એજ્યુકેશનનો રેગ્યુલર ચાર્જ સોંપી દેવાયો છે. એવી ચર્ચા છે કે, આ બન્ને અધિકારીઓ સીધી લીટીમાં ચાલનારા છે. તેઓ કોઈ મંત્રી કે તેનાથી સિનિયર અધિકારીઓનું પણ ખોટું ચલાવતા નથી. આમ બન્નેને માથાભારેની છાપ નડી રહી છે. મનોજ કુમાર દાસ (એમ.કે. દાસ) કોણ છે? મનોજ કુમાર દાસ, જેને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે. તેઓ હાલમાં ગુજરાત સરકારમાં અડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ 20 ડિસેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પાછા ફર્યા એકમાત્ર અધિકારી છે, જે બે દાયકામાં પહેલી વખત થયું છે. કોણ છે કૈલાસનાથન?કે.કૈલાસનાથને 1981માં સહાયક કલેક્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1985માં સુરેન્દ્રનગર અને 1987માં સુરતના કલેક્ટર હતા. જ્યારે 1999થી 2001 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ હતા. બીઆરટીએસ પ્રોજેક્ટની સ્ટીયરિંગ કમિટીના ચેરમેન તરીકે તેમની કારકિર્દીનું બીજું મહત્ત્વનું પોસ્ટિંગ હતું. કે.કે.તરીકે પ્રખ્યાત કે. કૈલાસનાથનું પૂરું નામ કુનિયલ કૈલાસનાથન છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં એમ.એસ.સી.અને યુનિવર્સિટી ઓફ વેલ્સમાંથી અર્થશાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી છે. પીએમ મોદીના નજીકના અધિકારી ગણાતા કે કૈલાસનાથનની પાવરફુલ અધિકારી તરીકે ગણના થતી હતી. કે.કે.તરીકે જાણીતા કૈલાસનાથન ચાર મુખ્યમંત્રી સાથે કામ કર્યું હતું. તેઓ 2006થી 2024 મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન ગુજરાતના ચાર મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સાથે કામ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, તેમને ઇતિહાસમાં સૌથી વધુ 11 વખત એક્સટેન્શન મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:00 am

અમદાવાદમાં કાકા સાથે આપઘાત કરનારી ભત્રીજી સગીર હોવાનો ઘટસ્ફોટ:બેવાર કેનાલમાં પડવા ગયા ને અવરજવરથી હોટલમાં જીવન ટૂંકાવ્યું, કોલેજથી આત્મહત્યા સુધીની એક-એક વાત

અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી 'ડેઇલી સ્ટે' હોટલમાં એક પ્રેમી યુગલે 17 ડિસેમ્બરે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું છે જ્યારે યુવતીનો બચાવ થયો છે. આ કેસમાં કિશોરીની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતી સગીર વયની છે. અગાઉ કાકા-ભત્રીજીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે બે વખત ગયા પણ હતા, પરંતુ વાહનોની સતત અવરજવર હોવાથી વિચાર પડતો મૂકયો હતો. તેના બીજા દિવસે જ સવારે હોટલમાં હાથમાં બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ‘ચેકઆઉટનો સમય છતાં રૂમ ખાલી કર્યો નહીં’અમદાવાદની ડેઇલી સ્ટે હોટલમાં 16મી ડિસેમ્બરના રોજ રાત્રિના નવેક વાગ્યે એક યુવક-યુવતીએ રાત્રિ રોકાણ માટે રૂમ નં.305 ભાડે રાખ્યો હતો. સવારે 10 વાગ્યે ચેકઆઉટ કરવાનું હતું, પરંતુ ચેકઆઉટનો સમય થયો છતાં રૂમ ખાલી નહીં કરતાં મેનેજરે રૂમનો ડોરબેલ વગાડયો હતો, પરંતુ રૂમમાંથી કોઇ જવાબ આવ્યો ન હતો. ડોરબેલ વગાડતા કોઈ જવાબ મળ્યો નહીંફરીથી 10 મિનિટ પછી ડોરબેલ વગાડતાં કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી પોતાના લેન્ડ લાઇન ફોનથી રૂમ નં. 305ના લેન્ડ લાઇનમાં ફોન કર્યો હતો, પરંતુ નો રિપ્લાય આવતાં હોટલ રજિસ્ટરમાં નોંધાયેલાં યુવકના મોબાઇલ ફોન પર ફોન કર્યો હતો. પરંતુ તે ફોન બંધ હોવાથી મેનેજરે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં રૂમ ખોલ્યોજેના પગલે એરપોર્ટ પોલીસ હોટલ પર દોડી આવી હતી અને પોલીસની હાજરીમાં રૂમ નં. 305 બીજી ચાવીથી ખોલવામાં આવ્યો હતો. બાદમાં જોયું તો યુવક-યુવતી બંને બેડ પર પડયાં હતા. બંનેના હાથમાંથી લોહી નીકળતું હતું. જેથી 108ને જાણ કરવામાં આવી હતી. 108ના સ્ટાફે આવીને તપાસતાં યુવક મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જયારે યુવતી બેભાન હોવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બે વર્ષ પહેલા કાકાના લગ્ન થયા હતા ને 4 મહિનાથી પ્રેમસંબંધ હતોએરપોર્ટ પોલીસ મથકના PSI એ.એ. મકવાણાએ આ અંગેની તપાસ હાથ ધરી હતી. જેના ભાગરૂપે કિશોરીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં કિશોરીની ઉંમર 17 વર્ષ 4 મહિના હોવાનું જાણવા મળ્યું હતું. તેણીના કાકા પરિણીત હતા અને તેમના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. બંને વચ્ચે ચાર મહિનાથી પ્રેમ સંબંધ હતો. કિશોરી કોલેજની બહાર આવતા કાકા ઉભા હતા16 ડિસેમ્બર, 2025એ સવારના સાત વાગ્યે કિશોરીને તેના પિતા રાબેતા મુજબ પોતાની બાઇક પર બેસાડીને કોલેજ જવા માટે કર્ણાવતી કલબ ખાતે ઉતારી હતી. ત્યાંથી તેણી રિક્ષામાં બેસી કોલેજ ગઇ હતી. સાડા દસ વાગ્યે કોલેજ પૂરી કરીને કિશોરી બહાર આવતાં જ કોલેજની બહાર તેના કાકા બાઇક લઇને ઊભા હતા. કાકીને પ્રેમસંબંધની જાણ થતાં સાથે રહેવા નહીં મળે તેમ વિચારી આપઘાતનું નક્કી કર્યુંકાકા-ભત્રીજીના પ્રેમ સંબંધની જાણ યુવકની પત્નીને થઇ ગઇ હતી. જેથી હવે તેમને સાથે રહેવા મળશે નહીં તેવી વાત કરી હતી. આ વાત જાણીને બંને જણાંએ આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બંને જણાં સવારે સાડા અગિયાર વાગ્યે વૈષ્ણોદેવી કેનાલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ લોકોની અવરજવર ચાલુ હોવાથી ત્યાંથી તેઓ કલોલ ખાતેની હોટલમાં રોકાણ કરવા ગયા હતા. જયાં બપોરના બે વાગ્યાથી સાંજના પોણા છ વાગ્યા સુધી રોકાયા હતા. ત્યાંથી સાંજના પોણા છ વાગ્યાની આસપાસ હોટલથી નીકળી પરત અંધારું થતાં વૈષ્ણોદેવી કેનાલ ખાતે ગયા હતા, પરંતુ ત્યાં પોલીસ તેમ જ લોકોની અવરજવર ચાલુ હોવાથી તેઓએ હોટલમાં જઇને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. યુવક હોટલની નીચે બ્લેડ લેવા ગયોઅલગ અલગ હોટલોમાં પૂછપરછ કરતા કરતા એપોલો સર્કલ ખાતે આવેલાં રાધે-ફોર્ચ્યુન કોમ્પ્લેક્સની ડેઇલી સ્ટે હોટલમાં રૂમ મળી ગયો હતો. ત્યારે રાત્રિના નવેક વાગ્યા હતા. તે સમયે યુવક નીચે બ્લેડ લેવા જાય છે, સાથે જ યુવકે કિશોરીને પૂછયું હતું કે, તારે કંઇ ખાવું છે તો સાથે લેતો આવું, પરંતુ કિશોરીએ ના પાડી હતી. થોડીવારમાં યુવક બ્લેડની સાથે જામફળ લઇને આવે છે અને જમવા માટે દાલબાટી રૂમમાં જ મંગાવી હતી. બાદમાં બંને જમીને સૂઇ ગયા હતા. બાથરૂમમાં જઈને બંનેએ હાથની નસ કાપીબીજા દિવસે સવારે આઠ વાગ્યાની આસપાસ તેઓ ઉઠયા હતા. થોડીવારમાં આત્મહત્યા બાબતે વિચારવા લાગ્યા હતા. ત્યારે યુવકે જણાવ્યું હતું કે આ લોકો આપણને સાથે રહેવા દેશે નહીં. જેથી બંને જણાં બાથરૂમમાં ગયા હતા. જયાં યુવકે બ્લેડના બોક્સમાંથી બ્લેડ કાઢી કિશોરીએ પોતે પોતાના જમણાં હાથ પર જાતે જ મારી કાપો પાડી દીધો હતો. થોડીવારમાં યુવકે તેના બંને હાથની નસને જાતે જ બ્લેડ મારીને કાપા પાડી દીધાં હતા. ‘મને કંઇ જ થતું નથી, હું ગળેફાંસો ખાઇ લઉં છું’લોહી નીકળતા કિશોરી થોડીજ વારમાં અર્ધ બેભાન થઇ ગઇ હતી. તે સમયે યુવકે કહ્યું કે તું અર્ધબેભાન થઇ ગઇ છે પણ મને કંઇ જ થતું નથી. હું ગળેફાંસો ખાઇ લઉં છું. તેમ જણાવી તે બાથરુમની બહાર ગયો હતો પણ થોડીવારે કિશોરીને પૂછતો હતો કે તને કેમ છે, વધારે તકલીફ થતી હોય તો દવાખાને જવું છે. થોડીવાર પછી કોઇ જ અવાજ નહીં આવતાં રૂમમાં સન્નાટો છવાઇ ગયો હતો. જેથી કિશોરીને લોહી વધારે પડતું નીકળી જવાના કારણે અશક્તિ અને અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી. બાથરૂમની બહાર આવીને જોયું તો કાકાએ ગળેફાંસો ખાધો હતોયુવતીને ચક્કર આવતાં હોય તેમ જ આંખે અંધારા આવતાં હોવાથી તે જેમ તેમ કરીને દિવાલનો ટેકો લઇને બાથરૂમની બહાર આવી હતી. જોયું તો કાકાએ પંખા સાથે દુપટ્ટો લટકાવીને ગળે ફાંસો ખાધેલો હતો. જેથી કિશોરીએ બ્લેડ લઇને દુપટ્ટો અડધેથી કાપી નાંખીને કાકાને નીચે ઉતાર્યા હતા અને ગળેથી બાંધેલો દુપટ્ટો દાંત વડે ખોલી નાંખ્યો હતો. કિશોરી શરીરે અશક્ત થયેલી હોવાથી તે પણ ત્યાંને ત્યાં અર્ધબેભાન હાલમાં સૂઇ ગઇ હતી. પોલીસે પાણી છાંટતા કિશોરી ભાનમાં આવીબપોરના સમયે પોલીસ આવતાં કિશોરી પર પાણીનો છંટકાવ કરતાં તે થોડું ભાનમાં આવી હતી. દરમિયાનમાં તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. કાકાના લગ્ન અને પ્રેમસંબંધને કોઈ સ્વીકારશે નહીં તેમ માની આત્મહત્યાનું નક્કી કર્યુંપોલીસ સમક્ષ કિશોરીએ આપેલાં નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, યુવક તેમનો કૌંટુબિક કાકા થતાં હતા અને અમારા પ્રેમસંબંધને બધાં સ્વિકારશે નહીં અને તેઓના લગ્ન થયેલાં હતા જેથી તેમના પ્રેમસંબંધના કારણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. આ પણ વાંચો: કાકા-ભત્રીજીએ લગ્ન શક્ય ના હોવાના કારણે હાથની નસ કાપી

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:00 am

સુરતમાં કિડનેપરે યુવકને વુડકટરથી કાપ્યો, ખરીદીના બિલથી કેસ ઉકેલાયો:બે થેલામાંથી લાશના કટકા મળ્યા, યુવકની બે વખત અંતિમવિધિ થઈ, કોર્ટમાં પિતાની વેદના- દીકરાનું માથું નથી જ મળ્યું

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે વાંચ્યું કે જાન્યુઆરી, 2013માં સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રાઇમ થ્રિલર જેવી ઘટના બની હતી. 19 વર્ષનો કમલેશ તેલી હોસ્પિટલ જવાનું કહીને પિતાની કરિયાણાની દુકાનેથી નીકળ્યો. ત્યારે કોઈને અંદાજ નહોતો કે તેનું ધોળા દિવસે અપહરણ થઈ જશે. બપોરના સમયે કમલેશનો મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયો. કુટુંબીજનો અને મિત્રોએ શોધખોળ કરી પણ કમલેશ ન મળ્યો. કલાકો બાદ કમલેશના મોબાઇલથી જ તેના પિતા પર કિડનેપરનો ફોન આવ્યો અને 10 લાખ રૂપિયાની ખંડણી માગી. ત્યારે પિતાના પગ તળેથી જાણેકે જમીન ખસી ગઈ. કિડનેપરે બીજા દિવસે ખંડણીની રકમ વધારીને 15 લાખ રૂપિયા કરી દીધી. પછી એવું પણ કહ્યું કે કમલેશ મુંબઈમાં છે. પિતાએ ખૂબ આજીજી કરી છતાં કિડનેપરે દીકરા સાથે ફોન પર વાત ન કરાવી. જગદીશચંદ્ર પોલીસને સાથે રાખીને ખંડણીના રૂપિયા આપવા માટે એક વખત નીકળ્યા પણ ખરા. પરંતુ કિડનેપરને અંદાજો આવી ગયો અને પોલીસનું આખું ઓપરેશન નિષ્ફળ નિવડ્યું. રાતના સમયે ફરી એકવાર કિડનેપરનો ફોન આવ્યો અને ભેસ્તાન ચોકડી પાસે રૂપિયા લઈને આવવા કહ્યું. જો કે આશ્ચર્યજનક રીતે પોલીસે જગદીશચંદ્રને રૂપિયા લઈને જવાની ના પાડી. (પાર્ટ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો.) પોલીસે કિડનેપરને રૂપિયા આપવાના નામે રાત્રે ટ્રેપ ગોઠવવાનું કેમ ટાળ્યું?કિડનેપરે એકપણ વખત કેમ કમલેશ અને તેના પિતાની ફોન પર વાત ન કરાવી?છેલ્લા ફોનમાં કિડનેપરે કમલેશ મુંબઈમાં હોવાનું કહ્યું. શું આ કેસમાં કોઈ મોટી ગેંગ સામેલ હતી?સામાન્ય પરિવારના 10 વર્ષના દીકરાનું અપહરણ માત્ર રૂપિયા માટે જ કરવામાં આવ્યું કે પછી બીજું જ કોઈ ષડયંત્ર હતું? આ સવાલોનો જવાબ જાણવા માટે વાંચો આગળનું ઇન્વેસ્ટિગેશન… એક તરફ પોલીસ અને જગદીશચંદ્ર તેમના દીકરા કમલેશની શોધખોળ કરી રહ્યા હતા. એ જ અરસામાં બીજી એક ગંભીર ઘટના બની. તારીખ: 21 જાન્યુઆરી, 2013બપોરના 12:30નો સમયબમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પંપ ગંદા પાણીને ચોખ્ખુ કરવા માટે હંમેશની માફક ગગડી રહ્યા હતા. પ્લાન્ટના કર્મચારી કલ્પેશભાઈ પટેલની નજર અચાનક પંપ હાઉસના 'રો સુએઝ' સેક્શનમાં પડી. ગંદા પાણીના પ્રવાહમાં કંઈક અજબ વસ્તુ તણાઈને આવી હતી. ધ્યાનથી જોયું તો ‘વિમલ’ લખેલો એક મોટો થેલો હતો. ચારે બાજુથી પેક કરેલો અને અંદર કંઈક વસ્તુ હોય એમ લાગતું હતું. આમ તો ગટરમાંથી ઘણી વસ્તુઓ તણાઈની આવતી હોય પણ કલ્પેશભાઈને આ થેલોમાં કંઈક ભેદી વસ્તુ હોવાનો અંદાજો આવી ગયો. તેમણે તુરંત ઇન્ચાર્જ ચારુલભાઈ પટેલને ફોન કર્યો. ચારુલભાઈ જે તે સમયે બીજા એક પ્લાન્ટની વિઝિટ માટે ગયા હતા. કલ્પેશભાઈની વાત સાંભળતા જ તેઓ તાત્કાલિક બમરોલી પ્લાન્ટ પર આવી ગયા. પ્લાન્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓમાં એક જ ચર્ચા હતી કે થેલામાં શું હોઈ શકે છે? અંતે પ્લાન્ટના ઇન્ચાર્જ ચારૂલભાઈએ પાંડેસરા પોલીસને જાણ કરી અને થોડી જ વારમાં પોલીસ અધિકારીઓ પ્લાન્ટ પર આવી પહોંચ્યા. લોખંડની જાળીમાંથી નીચે જોતા સ્પષ્ટ દેખાતું હતું કે ગંદા પાણીની સપાટી પર થેલો કોઈ ભારે વસ્તુને કારણે અડધો ડૂબેલો અને અડધો તરતો હતો. પ્લાન્ટ પર કામ કરતા હેલ્પર મગનભાઈ પરમાર ટાંકીમાં ઉતર્યા અને સાવચેતીથી થેલો પાણીની ટાંકીમાંથી બહાર કાઢ્યો. થેલો ખૂબ જ વજનદાર હતો. પાણીમાંથી બહાર કાઢતા જ થેલામાંથી અસહ્ય ગંદી વાસ ફેલાઈ ગઈ. ગંધ એટલી તીવ્ર હતી કે ત્યાં ઉભેલા લોકોએ મોઢા પર રૂમાલ દબાવી દીધા. થેલાના વજન અને દેખાવ પરથી કંઈક અઘટિત બન્યાનું લાગતું હતું. પોલીસ અધિકારીએ મગનભાઈને સૂચના આપી,આ થેલાની ચેઈન ખોલો જેવી ચેઈન ખૂલી, સૌના હોશ ઉડી ગયા. થેલાની અંદર ભૂરા કલરના પ્લાસ્ટિકમાં કંઈક વીંટાળેલું હતું. એ પ્લાસ્ટિક ખોલતા અંદર સિમેન્ટની સફેદ રંગની થેલી હતી જેને સીવી લેવામાં આવી હતી. થેલીને જ્યારે ફાડવામાં આવી ત્યારે જે દ્રશ્ય સામે આવ્યું તેણે અનુભવી પોલીસ અધિકારીઓને પણ હચમચાવી દીધા.થેલામાં માનવ અંગોના કટકા હતા. કોઈ અજાણ્યા પુરુષની લાશનો કમરથી નીચેનો ભાગ અને બંને પગના ઘૂંટણથી ઉપરના ભાગ સુધીના અંગ હતા. કોઈ તીક્ષ્ણ હથિયારથી શરીરને કસાઈની માફક કાપવામાં આવ્યું હતું. પાણીમાં આ અંગો પલળી જવાના કારણે ચામડી સફેદ થઈ ગઈ હતી અને ફૂલી ગયા હતા. હજુ પોલીસ આ ભયાનકતાને સમજે અને કાગળ પરની કાર્યવાહી પૂરી કરે એ પહેલાં જ વધુ એક આંચકાજનક દૃશ્ય સામે આવ્યું. નજર બીજો એક થેલો પાણીમાં તરતો દેખાયો. પરંતુ પ્લાન્ટમાં લાઈટ ન હોવાથી પાણીનું સર્ક્યુલેશન ધીમું હતું, એટલે એ થેલો પંપહાઉસ સુધી પહોંચ્યો ન હતો. જેથી થોડી રાહ જોવી પડી. સાંજના સાડા છ વાગ્યે લાઇટ આવી અને પ્લાન્ટ શરૂ થયો ત્યારે બીજો થેલો પણ તણાઈને નજીક આવી ગયો. આ વખતે ફાયરબ્રિગેડની ટીમ પણ હાજર હતી. તેમની મદદથી બીજો થેલો બહાર કાઢવામાં આવ્યો. ગટરના પાણીમાંથી મળેલા બીજા થેલાની પેકિંગ પદ્ધતિ પણ બપોરે મળેલા થેલા જેવી જ હતી. ભૂરું પ્લાસ્ટિક અને અંદર સિમેન્ટની સફેદ થેલી. જ્યારે બીજો થેલો ખોલવામાં આવ્યો ત્યારે ક્રૂરતાની સીમા વટાવી દે તેવી હકીકત જોવા મળી. એમાં પુરુષનું ગળાથી કમર સુધીનો ભાગ હતો. પણ માથુ અને બન્ને હાથ એકેય થેલામાં ન હતા. શરીરના ટુકડા એવી રીતે કરવામાં આવ્યા હતા કે લાશની ઓળખ ન થઈ શકે. અનુભવી પોલીસ અધિકારીઓ સમજી ગયા કે આ વેલ પ્લાન્ડ મર્ડર છે. હત્યારાએ જરા પણ માનવતા દાખવ્યા વગર પુરાવાનો નાશ કરવા અને લાશની ઓળખ છુપાવવા માટે શરીરના અલગ-અલગ ટુકડા કર્યા અને તેને સુરતની મેઈન ગટર લાઈનમાં વહાવી દીધા હતા. એક તરફ 19 વર્ષના યુવકનું અપહરણ થયું હતું અને 15 લાખની ખંડણી માગવામાં આવી રહી હતી. બીજી તરફ ગટરમાંથી અજાણ્યા પુરુષની લાશના ટુકડા મળ્યા, માથું ગુમ હતું. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યા અને પુરાવાનો નાશ કરવાનો અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાયો. હવે સૌથી મોટો સવાલ એ હતો શું આ કમલેશની લાશના ટુકડા છે? કઈ જગ્યાએથી માનવ અંગો ભરેલો થેલો ફેંકવામાં આવ્યો? પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા પુરુષની લાશ મળી હોવાની માહિતી સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નિયમ પ્રમાણે પહોંચડવામાં આવી. જેવી આ વિગતો સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળી તેઓ સચેત થઈ ગયા. તરત જ વધુ માહિતી માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો. માત્ર જોઈને જ મૃતદેહની ઓળખ થાય એમ તો ન હતી. એટલે સ્થિતિની ગંભીરતા સમજીને આ ઘટનાની જાણ કમલેશના પિતા જગદીશચંદ્ર તેલીને કરવામાં આવી. પોલીસકર્મીએ કહ્યું, “જગદીશભાઈ બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બે થેલા મળ્યા છે અને બન્નેમાં લાશના કટકા છે. માથું હજુ સુધી મળ્યું નથી. અમે તમારી હાલત સમજીએ છીએ. પણ તમારે DNA ટેસ્ટ માટે સેમ્પલ આપવું પડશે.” આટલું સાંભળતા જ જગદીશચંદ્રની આંખો ભીંજાઈ ગઈ. કારણ કે થોડા કલાકો પહેલાં જ કિડનેપરના ફોન આવતા હતા. તેણે 15 લાખ રૂપિયા માગ્યા હતા, જગદીશભાઈ રૂપિયા આપવા માટે તૈયાર પણ હતા, છતાં તેણે કમલેશ સાથે વાત કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલે દીકરા સાથે કંઈક અઘટિત બની ગયું હોવાનો અણસાર તો મનમાં હતો. જગદીશચંદ્ર DNA રિપોર્ટ કઢાવવા માટે સેમ્પલ આપવા ભારે હૈયે સહમત થયા. જો કે પોલીસ માત્ર DNA રિપોર્ટની રાહ જોઈને બેઠી ન રહી. સચિન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. બી.એમ.પરમારની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેમને વર્ષોના અનુભવથી સમજાઈ ગયું હતું કે આ કોઈ કોન્ટ્રેક્ટ કિલર ગેંગ નથી પણ કોઈ એવી ટોળકી છે જેમને કમલેશના પરિવારની આર્થિક સ્થિતિ અને રહેણી-કહેણીનો અંદાજો હતો. એમાં પણ બે સંભાવના હતી. ગુનેગાર સ્થાનિક હોઈ શકે અથવા પરપ્રાંતિય પણ હોય. ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેજ કર્યું. કમલેશના મોબાઈલનું લોકેશન પાંડેસરા અને ભેસ્તાન આસપાસ જ હોવાનું માલુમ પડ્યું. હજારો કોલ ડિટેઈલ્સ રેકોર્ડ એટલે કે CDR તપાસ્યા પછી પોલીસનું ધ્યાન એક નામ પર અટક્યું… ઉમેશ રામનાથપ્રસાદ કાનુ. ઉમેશ પોલીસની રડાર પર હતો. પોલીસે તેની આખી કુંડળી કઢાવી લીધી. મૂળ બિહારનો આ શખસ પાંડેસરામાં સરકારે બનાવેલા EWS આવાસમાં રહેતો હતો. તેની ઓળખ ત્યાંના ગુંડા તરીકે જ થતી હતી. 27 જાન્યુઆરી, 2013ના રોજ પોલીસ તેના ઘરની નજીક પહોંચી. પણ અચાનક ઘરની અંદર ધસી જવામાં જોખમ એ હતું કે બની શકે ઉમેશ હોય જ નહીં અને પછી છટકી જાય તો ક્યારેય હાથમાં ન આવે. એટલે પોલીસે રેડ કરતા પહેલાં એક રણનીતિ બનાવી. પોલીસને ત્યાં રહેતી એક મહિલાની ગતિવિધિ પર પણ શંકા હતી. એટલે એ મહિલાની પૂછપરછ કરી. આ દરમિયાન તેને એક યુવકનો ફોટો બતાવ્યો. પણ મહિલાએ કહ્યું, “હું આને ઓળખતી નથી.” હવે પોલીસે મહિલાના મોબાઇલની જડતી લીધી. ત્યારે કોલ લિસ્ટમાંથી એક નંબર મળ્યો. પોલીસે પૂછ્યું, “આ નંબર કોનો છે?” મહિલાએ કહ્યું, “અમારી બિલ્ડિંગના ત્રીજા માળે બિહારનો એક યુવક રહે છે. તેણે મને હમણાં ફોન કર્યો હતો?” “કેમ ફોન કર્યો હતો?”, પોલીસે વળતો સવાલ કર્યો. મહિલાએ જવાબ આપ્યો, “એણે મને બોલાવી હતી.” પોલીસે મહિલાને આદેશ આપ્યો, “તું ઉમેશને ફોન લગાવ અને પૂછ કે તે અત્યારે ક્યાં છે?” મહિલા હવે હેબતાઈ ગઈ હતી. તેને ખ્યાલ નહોતો આવી રહ્યો કે તેની સાથે આ શું બની રહ્યું છે. પણ પોલીસની વાત માન્યા વગર છૂટકો ન હતો. સામે સવાલ પણ નહોતી કરી શકતી કે મામલો શું છે. પોલીસને કહેવા પ્રમાણે તેણે ઉમેશને ફોન કર્યો. ઉમેશે તરત જ ફોન ઉપાડી લીધો. પોલીસકર્મીએ ઇશારામાં મહિલાને જણાવી દીધું કે અમે તારી સાથે છીએ આ વાતનો અણસાર ઉમેશને આવવો ન જોઈએ. મહિલાએ ઉમેશને પૂછ્યું?, “તું ક્યાં છે?” સામેથી જવાબ આવ્યો, “હું બીજે ક્યાં હોઉં.. રૂમ પર જ છું.” “એ સારું, હું આવું છું.”, આટલું કહીને મહિલાએ ફોન કાપી નાખ્યો. પોલીસની ટીમે ઉમેશ રહેતો હતો એ બિલ્ડિંગને ઘેરી લીધી હતી. ફોન કટ થતાં જ પોલીસે તાત્કાલીક બનાવેલી રણનીતિ પ્રમાણે મહિલાને આગળ કરી અને પછી ભરી બંદૂકે એકદમ એલર્ટ થઈને પોલીસકર્મીઓ પાછળ-પાછળ દબાતા પગલે પગથિયાં ચડવા લાગ્યા. ત્રીજા માળે મહિલાએ ઉમેશના ઘરનો દરવાજો ખટખટાવ્યો અને એ જ ક્ષણે પોલીસ અધિકારીએ મહિલાને પાછી ખસી જવા માટે ઇશારો કર્યો. ઘરના ઉંંબરે મહિલા ઉભી હશે એ વિચારીને ઉમેશે દરવાજો ખોલ્યો પણ સામે સુરત પોલીસના દર્શન થઈ ગયા. થોડીવાર માટે તો ઉમેશ સુન્ન થઈ ગયો. “શું થયું સાહેબ?”, ઉમેશે ધ્રૂજતા હોઠે સવાલ કર્યો. પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, “એ બધુ પોલીસ સ્ટેશન જઈને. હમણાં અમારી સાથે ચાલ.” એક જ ક્ષણમાં ઉમેશના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેને લાગ્યું કે હવે આવી બન્યું છે. ભાગવાનો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પોલીસકર્મીએ તેની બોચી ઝાલી લીધી અને હાથકડી પહેરાવી ત્રીજા માળેથી નીચે લાવીને જીપમાં નાખી દીધો. ગણતરીની મિનિટોમાં આરોપી હાથ તો લાગી ગયો પણ હજુ સુધી ઘણા સવાલોના જવાબ મળવાના બાકી હતા. સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેઠેલા ઉમેશની કબૂલાતે પોલીસના પણ હોશ ઉડાવી દીધા હતા. ગુનાની શરૂઆત કોઈ દુશ્મનીથી નહીં, પણ જગદીશચંદ્રની એક વાત સાંભળવાથી થઈ હતી. થોડા દિવસો પહેલા ઉમેશ જગદીશચંદ્રની કરિયાણાની દુકાને સામાન લેવા ગયો હતો. ત્યાં તેણે જગદીશચંદ્રને કોઈ વ્યક્તિ સાથે વાત કરતા સાંભળ્યા કે અમે હમણાં જ પાંડેસરાનું મકાન 14 લાખ રૂપિયામાં વેચ્યું છે અને આ નવી દુકાન ખરીદી છે. બસ, આ એક વાક્ય ઉમેશના મગજમાં ઝેરની માફક પ્રસરી ગયું. તેને લાગ્યું કે જે માણસ પાસે 14 લાખ રોકડા હોય, તેનો દીકરો ઉઠાવીએ તો 10 લાખ રૂપિયા આરામથી મળે. આટલી વાત મગજમાં આવ્યા બાદ ઉમેશે તેના મિત્ર રાકેશને પણ પોતાને ષડયંત્રમાં શામેલ કરી લીધો. ઉમેશનો સાથીદાર રાકેશ પોલીસને થાપ આપીને પોતાના વતન બિહાર ભાગી છૂટ્યો હતો. સચિન પોલીસની એક ટીમ બિહાર પહોંચી અને 30 જાન્યુઆરીના રોજ તેને દબોચી લીધો. રાકેશને સુરત લાવવામાં આવ્યો ત્યારે તેની પાસેથી વધુ વિગતો મળી. આ બન્ને લોકો કમલેશના નિત્યક્રમ પર વોચ રાખવા લાગ્યા. કમલેશ સવારથી માંડીને સાંજ સુધી ક્યાં જાય છે, કોને મળે છે, તેની બેઠક ક્યાં છે આ બધુ જ ગણતરીના દિવસોમાં ઉમેશ અને રાકેશે જાણી લીધું. તેમને ખબર હતી કે કમલેશ દરરોજ ફિઝિયોથેરાપી માટે જાય છે. આ જ સમય તેમને અપહરણ માટેનો યોગ્ય લાગ્યો. 18મી જાન્યુઆરી 2013ના રોજ કમલેશ દરરોજની જેમ દુકાનેથી હોસ્પિટલ જઈ રહ્યો હતો. એ દરમિયાન રસ્તામાં જ કમલેશને આંતરી લીધો. ત્યાર બાદ તેને ધમકી આપી અને ઉમેશના EWS આવાસ પર લઈ ગયા હતા. પરંતુ, 19 વર્ષના હટ્ટાકટ્ટા યુવાનને લાંબો સમય ગોંધી રાખવો ઉમેશ અને રાકેશને જોખમી લાગ્યું. જો તે બૂમાબૂમ કરે તો પડોશીઓને ખબર પડી જાય અને ભાંડો ફૂટી જવાની સંભાવના હતી. એટલે ખંડણીનો ફોન કરતા પહેલાં જ આ નરાધમોએ કમલેશને ગળે ટૂંપો આપીને જીવ લઈ લીધો હતો. 27 જાન્યુઆરીના રોજ પોલીસે છાપો મારી ઉમેશને તેના ઘરેથી દબોચી લીધો. ત્યારે જડતી લેતા ઉમેશના ખિસ્સામાંથી જે મળ્યું તે જોઈને પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. કમલેશનું સીમકાર્ડ ઉમેશ પાસે હતું. સાથે જ લાકડા વેરવાનું મશીન એટલે કે વૂડ કટરનું બિલ મળ્યું હતું. એટલે 1730 રૂપિયા આપીને તેણે વૂડ કટર ખરીદ્યું હતું. પૂછપરછ કરી રહેલા પોલીસકર્મીઓને અંદાજો તો આવી જ ગયો હતો. પરંતુ તેઓ ઉમેશના મોઢેથી હકીકત જાણવા માગતા હતા. એટલે તેને સવાલ કરવામાં આવ્યો, લાકડા વેરવાનું મશીન કેમ ખરીદ્યું હતું? ઉમેશે પોલીસ સામે કરેલી કબૂલાત પ્રમાણે, ગળે ટૂંપો આપી દીધા બાદ પણ તેણે ખંડણીની માગ ચાલુ રાખી હતી. આ સાથે જ લાશનો નિકાલ કેવી રીતે કરવો? ઓળખ કેવી રીતે છુપાવવી? એ દિશામાં પણ પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. આ માટે જ ઉમેશે 1730 રૂપિયાનું વૂડ કટર ખરીદ્યું હતું. તેણે કમલેશના શરીરના વૂડ કટર વડે સાત ટુકડા કર્યા હતા. પી.આઈ. પરમારની પૂછપરછમાં ઉમેશે જે કબૂલાત કરી તે સાંભળીને સૌના રુંવાડાં ઉભા થઈ ગયા. ઉમેશે જણાવ્યું, સાહેબ, મેં ટીવી સીરિયલમાં જોયું હતું કે એક હત્યારાએ લાશના ટુકડા કરીને ફ્રિજમાં સંતાડી દીધા હતા ઉમેશે કોઈ ગર્વ લેતો હોય એમ કહ્યું, પણ મને લાગ્યું કે ફ્રિજમાં રાખવાથી પકડાઈ જવાય. એટલે મેં વિચાર્યું કે જો લાશના ટુકડા કરી ગટરમાં વહાવી દઉં તો પુરાવા ક્યારેય મળશે જ નહીં અને કોઈને ખબર પણ નહીં પડે. માનવતાને શરમાવે તેવી રીતે બન્ને હત્યારાઓએ શરીરના અંગોને અલગ-અલગ કરી, સફેદ ગુણીઓમાં પેક કર્યા અને પછી પાંડેસરાની મેઈન ગટર લાઈનમાં ફેંકી દીધા. આ કેસમાં જે મહિલાને ઉમેશે ફોન કર્યો હતો તેણે કોર્ટમાં આપેલા નિવેદનના કારણે પણ કેસ મજબૂત બન્યો. મહિલાએ કોર્ટમાં જણાવ્યું, 18 જાન્યુઆરી, 2013ના રોજ સવારે હું ઓટલા પર ઉભી હતી. મેં જોયું કે ઉમેશ અને તેનો મિત્ર રૂમમાંથી નીચે ઉતર્યા. ઉમેશના હાથમાં ‘વિમલ’ લખેલો એક મોટો અને વજનદાર થેલો હતો. તે એટલો ભારે હતો કે ઉમેશે તેને બંને હાથે ઉંચકવો પડતો હતો. તેનો મિત્ર બાઇક ચાલુ કરીને ઉભો હતો. ઉમેશ એ થેલો લઈને બાઈક પર બેઠો અને તેઓ નીકળી ગયા. તે દિવસે સાંજે ઉમેશ ફરી દેખાયો હતો, જાણે કંઈ બન્યું જ ન હોય તેમ હાથમાં દૂધની થેલી લઈને તે શાંતિથી પોતાની રૂમ પર જઈ રહ્યો હતો. જે ટુકડા બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મળ્યા હતા તે કમલેશના જ હોવાનું DNA રિપોર્ટના આધારે પણ સાબિત થઈ ચૂક્યું હતું. ગટરમાં વહેતા-વહેતા એ અંગો દૂંડી ગામ સુધી પહોંચ્યા હતા. હત્યારાઓએ વિચાર્યું હતું કે ગંદકીમાં લાશ ઓગળી જશે પણ કરવતના એક બિલે આખા મર્ડરનો ભાંડો ફોડી દીધો. જે દીકરાને જગદીશચંદ્રએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, તેના હાથ-પગ હવે થેલામાં મળી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય તેમ હતું. પોલીસ હવે આ બંને રાક્ષસોને કડક સજા અપાવવા માટે કમર કસી રહી હતી. જ્યારે પાંડેસરાના લોકોને ખબર પડી કે જગદીશચંદ્રનો પાડોશી જ કમલેશનો હત્યારો છે, ત્યારે આખા વિસ્તારમાં આક્રોશની જ્વાળા ફાટી નીકળી. આ નરાધમને જાહેરમાં ફાંસી આપો લોકમુખે માત્ર આ જ માગ હતી. લોકોનો રોષ જોઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. જગદીશચંદ્ર તૈલીએ જ્યારે કોર્ટમાં જુબાની આપી ત્યારે આખું કોર્ટરૂમ સ્તબ્ધ થઈ ગયું હતું. એક પિતા માટે પોતાના સંતાનની અંતિમવિધિ એ જીવનનું સૌથી મોટું દુઃખ હોય છે પણ જગદીશચંદ્રની કિસ્મત તો એથીય વધુ ક્રૂર હતી. કોર્ટમાં તેમણે કહ્યું, સાહેબ… મારે મારા દીકરાની અંતિમક્રિયા બે વાર કરવી પડી. પહેલીવાર જ્યારે પોલીસને ગટરમાંથી ટુકડા મળ્યા ત્યારે મને માત્ર તેનું ધડ અને પગના અડધા ભાગ મળ્યા હતા. અમે ભારે હૈયે એ અડધા શરીરને અગ્નિદાહ આપ્યો. તેના થોડા દિવસો પછી બીજો આરોપી પકડાયો અને તેની નિશાનદેહી પરથી બીજા થેલા મળ્યા, જેમાં કમલેશના બીજા અંગો હતા. મારે ફરીથી સ્મશાન જવું પડ્યું. તેમણે આગળ કહ્યું,, પણ સાહેબ… કમલેશનું માથું મને આજ દિન સુધી મળ્યું નથી. એ ટુકડા કમલેશના જ હતા એની ઓળખ તો તેના શરીર પરના અંડરવેર, તેના હાથના કાળા દોરા અને DNA રિપોર્ટથી થઈ હતી. હજુ આ કેસમાં એક મોટો વળાંક આવવાનો બાકી હતો… કમલેશની હત્યાનો આ કેસ સુરતની કોર્ટમાં ઘણા સમય સુધી ચાલી રહ્યો હતો. સમયાંતરે કોર્ટમાં સુનાવણી થતી હતી. ઠંડા કલેજે થયેલી આ હત્યાના કેસમાં ઉમેશ અને રાકેશ સુરતની લાજપોર જેલમાં કેદ હતા. 30 જાન્યુઆરી 2015ના રોજ ઉમેશની તબિયત ખરાબ થઈ, તેને તાવ આવ્યો હતો. સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. રાતના 3 વાગ્યા હતા. ત્યારે ઉમેશે ત્યાં હાજર ચાર પોલીસકર્મીઓને કહ્યું, “મારે લઘુશંકા માટે જવું છે.” પોલીસકર્મીઓને જરાય અંદાજો ન હતો કે ઉમેશ શું કરવા જઈ રહ્યો છે. ટોઇલેટ પાસે જઈને તેની હાથકડી ખોલી નાખવામાં આવી. એ દરમિયાન તક જોઈને ઉમેશ હોસ્પિટલમાંથી ભાગી ગયો. આજ દિન સુધી પોલીસ ઉમેશને પકડી શકી નથી. બીજી તરફ સુરતની કોર્ટમાં કમલેશની હત્યાનો કેસ ચાલતો રહ્યો. 29 સપ્ટેમ્બર, 2025ના રોજ આ કેસનો ચુકાદો આવ્યો, જેમાં કોર્ટે રાકેશને આજીવન કેદની સજા સંભળાવી. જ્યારે ભાગેડું ઉમેશ સામે કલમ 70 હેઠળ વોરંટ જાહેર કરીને તેને પકડીને અલગથી ચાર્જશીટ કરવાનો હુકમ કર્યો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 6:00 am

પહાડો પર બરફવર્ષાનું પ્રમાણ ઘટવાના કારણે નહિવત ઠંડી:આ વર્ષે નલિયામાં ઠંડી સિંગલ ડિજિટ તો દૂર, પણ મહતમ તાપમાન પણ 30 ડીગ્રીને પાર

સામાન્ય રીતે કચ્છમાં નવેમ્બર માસથી શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે અને જાન્યુઆરી અંત સુધીમાં કચ્છ જિલ્લામાં ઠંડીનો પ્રભાવ સ્પષ્ટ રીતે અનુભવાય છે. ખાસ કરીને કચ્છનું “કાશ્મીર” ગણાતા નલિયા પંથકમાં દર વર્ષે તીવ્ર ઠંડી નોંધાતી હોય છે. જોકે ચાલુ વર્ષે શિયાળાનો માહોલ મોડો જણાઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે છતાં ઠંડીનો અહેસાસ હજુ થયો નથી. હવામાન વિભાગના આંકડા મુજબ નલિયામાં ડિસેમ્બર માસ દરમિયાન અત્યાર સુધી સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગત વર્ષે 23 ડિસેમ્બર સુધી નલિયાનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગત વર્ષ અને ચાલુ વર્ષના આંકડાની તુલના કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ વર્ષે નલિયાનું સરેરાશ તાપમાન અંદાજે 2 ડિગ્રી વધ્યું છે, જે ઠંડીમાં ઘટાડા તરફ ઈશારો કરે છે. સામાન્ય રીતે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થયા બાદ જ ઉત્તર દિશાથી ઠંડી હવાઓનું પ્રવાહ શરૂ થાય છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે, જેના કારણે નલિયા સહિત કચ્છના વિસ્તારોમાં કડક ઠંડી અનુભવાય છે. આ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ ઠંડીનો પ્રભાવ વધે છે અને લોકો ઠંડીથી ઠૂંઠવાઈ જાય છે. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી આ કુદરતી પ્રક્રિયામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓના મત મુજબ છેલ્લા વર્ષોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઇન્ટેનસિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ઉત્તર ભારતના પહાડોમાં બરફવર્ષા ઓછી થઈ રહી છે. વર્ષ 2021-22 દરમિયાન પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ હતી, પરંતુ ત્યારબાદ તેવા સ્તરની હિમવર્ષા જોવા મળી નથી. આ બદલાવની અસર ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત અને કચ્છ સુધી અનુભવી શકાય છે. આગામી બે દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. તેનાકારણે આગામી સપ્તાહથી કચ્છ સહિત નલિયા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. જો આવું બનશે તો લાંબા સમયથી રાહ જોતા લોકોને શિયાળાની સાચી ઠંડીનો અહેસાસ થવાની શક્યતા છે. માત્ર 3 દિવસ સિંગલ ડિજિટમાં રહ્યું નલિયાનું તાપમાન તારીખ લઘુતમ મહતમ 11-12-25 0.9 32 12-12-25 8.8 32.2 13-12-25 9.8 31.2

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:48 am

અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધામાં જીત મેળવી:પોલિટેકનિકના વ્યાખ્યાતાએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો

ગાંધીનગર ખાતે સેન્ટ્રલ સિવિલ સર્વીસ એન્ડ સ્પોર્ટસ બોર્ડ ભારત સરકાર ઉપક્રમ હેઠળ અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા 2025-26નું આયોજન સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની સરકારી પોલિટેકનિક, ભુજ ખાતે વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવતા અને માસ્ટર્સ ટેનિસ એકેડમીમાં માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ લેતાં જહાન્વી નરેન્દ્ર ઠક્કર ગુજરાત સચિવાલયની ટીમમાં પસંદગી પામી ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ ઇવેન્ટમાં ગુજરાત સચિવાલયની વુમન્સ ટીમે કાંસ્ય પદક મેળવ્યો હતો. પદક સુધીની સફરમાં ગુજરાત ટીમને દિલ્લી, હરિયાણા, છત્તીસગઢ તથા મુંબઈની ટીમોનો સામનો કરવાનો હતો. ટીમની આ સફળતામાં જહાન્વીએ બધા રાઉન્ડમાં સિંગલ્સ અને ડબલ્સ મેચ રમીને ભાગ ભજવ્યો હતો. કાંસ્ય પદક માટેના સિંગલ્સ મુકાબલામાં તેમણે મુંબઈની ખેલાડી સામે એકતરફી 9-0ના સ્કોરથી નિર્ણાયક જીત હાસલ કરી હતી. તેમની આ સિદ્ધિને આચાર્ય ડો. ગૌરાંગ લાખાણી, ખાતાના વડા કલ્પા હરપાલ, સર્વે સ્ટાફ મિત્રો તથા માસ્ટર્સ ટેનિસ એકેડમીના સાથી ખેલાડીઓએ બિરદાવી હતી. ગુજરાત દ્વારા પ્રથમ વખત સ્પર્ધાની યજમાની કરાઈગુજરાત રાજ્ય દ્વારા પ્રથમ વખત આ સ્પર્ધાની યજમાની કરવામાં આવી અને અખિલ ભારતીય લોન ટેનિસ સ્પર્ધામાં આ રાજ્યની પ્રથમ ટ્રોફી છે. આ સ્પર્ધામાં જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોની 28 ટીમોમાં 300થી વધારે ખેલાડીએ ભાગ લીધેલ. સ્પર્ધાનું આયોજન દેશભરથી આવેલ ખેલાડીઓ અને અધિકારીઓ દ્વારા ખૂબ પ્રસંશા પામ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:44 am

હકારાત્મક અભિગમ:નેટવર્કના ઉકેલ માટે બ્લેકઆઉટ શોધી અપડેટ કરાશે

ખનીજ પરિવહનના વાહનોમાં ફરજીયાત જીપીએસ કરવામાં આવ્યું છે જે વિસ્તારમાં નેટવર્ક નથી ત્યાં વાહનોની રોયલ્ટી બ્લોક થતી હતી જેથી વ્યવસાયકારો દ્વારા ભુજમાં કલેક્ટર અને ખનિજ વિભાગમાં રજૂઆત કરવામાં આવી અને આ મામલે ગાંધીનગર રજૂઆત કર્યા બાદ કમિશનર તરફથી હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ જિલ્લાએ હરણફાળ ભરી છે અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે જેમાં ચાઇનાક્લે અને બેન્ટોનાઈટ ઉદ્યોગ લોકોને રોજગારી અને મોટા પ્રમાણમાં સરકારને રેવન્યુ જનરેટ કરી આપે છે.અચાનક GPS પદ્ધતિમાં ફેરફાર કરાતા રોયલ્ટી જનરેટ કરવામાં અને ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી ઉભી થઇ હતી ત્યારે કચ્છ જિલ્લા ચાઇનાક્લે એસોસિયેશનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગરની આગેવાનીમાં કચ્છ કલેકટર અને ખાણ ખનીજ અધિકારીને રજૂઆત કર્યા બાદ ગાંધીનગર મુકામે કમિશનરને રજૂઆત કરવા 500 જેટલા લોકો પહોંચ્યા હતા. ગોકુલભાઈ ડાંગર સહિત બેન્ટોનાઇટ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ ભાનુશાલી અને ટ્રક-ડમ્પર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ જાટીયા સાથે આગેવાનો કમિશનર ધવલ પટેલને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કમિશનરને સમગ્ર કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવી અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક પૂરતા પ્રમાણમાં ન મળતા ક્યાંક ને ક્યાંક GPS કનેક્ટિવિટી ગુમાવી દે છે અને ટ્રકની રોયલ્ટી બ્લોક થઈ જાય છે જેથી 24 કલાક સુધી પરિવહન અટકી જતા પ્લાન્ટ, લીઝ અને ટ્રકથી સંકળાયેલા લોકો અને મજૂરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ ટેલીફોનિક વાતચીત કરી કમિશનરને અવગત કર્યા હતા અને તેનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું પ્રતિ ઉત્તરમાં કમિશનર ધવલ પટેલે સમસ્યાના નિરાકરણ માટે જે વિસ્તારોમાં નેટવર્ક પ્રોબ્લેમ હોય તેનો સર્વે કરવામાં આવે અને તે વિસ્તારમાં GPS ના ડેટામાં પ્રોબ્લેમ ન થાય તે માટે બ્લેકઆઉટ ઝોન ડિફાઇન કરી અપડેટ કરવામાં આવશે અને ત્યાં સુધી GPS સિસ્ટમ જે રીતે સરળતાથી ચાલી શકે તે રીતે ફરીથી કાર્યરત કરવામાં આવશે.ફરીથી પરિવહન અને જૂની રોયલ્ટી સિસ્ટમ શરૂ કરાઈ હતી.આ રજૂઆત પ્રસંગે કચ્છ જિલ્લા ચાઇનાક્લે એસોસિએશનના ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા, શિવજીભાઈ બરાડીયા, ભરતભાઈ ડાંગર, ખજાનચી મોહિતભાઈ સોલંકી, સહમંત્રી દીપક ડાંગર તથા આગેવાનો હરિભાઈ જાટિયા, સતિષભાઈ છાંગા, આલા ભાઇ છાંગા, માવજી ભાઈ આહીર હરિભાઈ ડાંગર, પુનમભાઈ મકવાણા તથા ગામના સરપંચો, લીઝ ધારકો, પ્લાન્ટ ધારકો અને ટ્રક માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:42 am

ભાસ્કર ઈનસાઈડ:ભુજ તાલુકાના નાડાપા પાસેથી સિલિકાસેન્ડ અને ચાઈનાક્લે ભરેલી ચાર ટ્રકો પકડાઈ

જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભુજ-ભચાઉ હાઈવે પરથી ગેરકાયદેસર ખનીજ વહન કરતી કુલ 4 ટ્રકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ-ભચાઉ હાઈવે પર નાડાપા ગામના ફાટક પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટ્રક નંબર GJ-12-AZ-3859 અને GJ-01-DY-3673 ને અટકાવવામાં આવી હતી. આ બંને ટ્રકોમાં કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ વગર 40 મેટ્રિક ટન સિલિકા સેન્ડ ભરેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડ્રાઈવર પપ્પુ રમેશ કોલી અને જુસબ ગગડાની પૂછપરછ કરતા આ વાહનોના માલિક મામદ હુશેન રમજાન જત અને ત્રીકમ ગોપાલ કેરાસીયા છે. તંત્રએ રૂા. 24 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે. આ જ કામગીરી દરમિયાન અન્ય બે ટ્રક નંબર GJ-03-AZ-4623 અને GJ-01-KT-4662 પણ ઝડપી પાડવામાં આવી હતી. જેમાં નિયમ કરતા ૩ મેટ્રિક ટન જેટલી વધુ ચાઈના ક્લે ઓવરલોડ ભરેલી હતી. ડ્રાઈવર ભરત કાગી અને પાંચા ભીમા કોલીની તપાસમાં આ ટ્રકો સચીન વાણીયા અને મોહન ગાગલની માલિકીની હોવાનું ખુલ્યું હતું. ઓવરલોડિંગ બદલ આ ગાડીઓ પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. થાનગઢના હુમલાની અસર વર્તાઈ, પોલીસ બંદોબસ્ત ફાળવાયોગત 15 ડીસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ રોકવા માટે નાયબ મામલદારની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે અસામાજિક તત્વો દ્વારા ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે કચ્છ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કચ્છ કલેકટરને આવેદન પત્ર પાઠવીને ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા નાયબ મામલતદાર સહીત કર્મચારીઓ/અધિકારીને પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. જેને પગલે કચ્છ કલેકટર દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ સાથે પશ્ચિમ કચ્છ એસપી દ્વારા હથિયાર ધારી પોલીસ કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે. આ બાબતે નાયબ કલેકટર જિલ્લા ટાસ્ક ફોર્સ અર્શ હાશમીએ જણાવ્યું હતું કે રેડ સમયે ડમ્પર ચાલકો વાહનો ઉભા નથી રાખતા, ઘણી વખત ટીમ પર વાહનો ચડાવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને ટીમ સાથે અસામાજિક તત્વો માથાકૂટ કરતા હોવાના બનાવો બન્યા છે. જેને પહેલે હવે જિલ્લા ટાસ્ક ફોર્સ સાથે હથિયાર ધારી પોલીસ કર્મચારીઓ સાથે રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:40 am

ગાંધી સર્કલથી ઝાંસી કી રાની સુધીનો માર્ગ સુંદર પણ ફેન્સિંગ:ડીવાઈડર પર ધૂળના ઢગ ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમાન બન્યા

માધાપરને ભુજ સાથે જોડતો ગાંધી સર્કલથી ઝાંસી કી રાની સર્કલ સુધીનો મહત્વપૂર્ણ માર્ગ ગત અઠવાડિયે દોઢ વર્ષ બાદ ડામરથી સજ્જ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમયથી તૂટી ગયેલો માર્ગ સુધરતા હવે વાહનચાલકોને રાહત મળી છે અને ડામરની ગુણવત્તા સારી હોવાનું ત્યાંથી પસાર થતા દરેક લોકોમાં આશા જાગી છે. બાકી રહેલી ત્રુટિ પણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. માર્ગ નવો બન્યો હોવા છતાં કેટલીક ગંભીર ખામીઓ સામે આવી છે. ખાસ કરીને બંને માર્ગની વચ્ચે આવેલા ડિવાઇડર પાસે વાહનો નીકળે તે સ્થળે નવા ડામરના કારણે છથી આઠ ઇંચ જેટલું ઊંચું સ્ટેપ જેવું બની ગયું છે, જે ક્યારે પણ અકસ્માતનું કારણ બની શકે છે. આ જ કારણથી સીનીયર સીટીઝન અને બાળકો માટે ખાસ જોખમી બનશે. ડિવાઇડરમાં ધૂળ અને કચરાના ઢગ ખડકી નાખવામાં આવ્યા છે તેમજ અગાઉ રહેલી ફેન્સીંગ પણ દૂર કરી દેવામાં આવી છે, જેના કારણે માર્ગની સુંદરતા બગડી છે. વાસ્તવમાં જો આ ડિવાઇડરને સુવ્યવસ્થિત રીતે વિકસાવી, હરિયાળી અને આકર્ષક ડિઝાઇન સાથે બનાવવામાં આવે તો તે સ્થાનિકો સાથે સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે. પરંતુ હાલની સ્થિતિ જોઈને અનેક પ્રવાસીઓ સહેજે કહી રહ્યા છે કે આ માર્ગ ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમાન છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:39 am

કચ્છી સાહિત્ય ઉત્સવ:કચ્છના લોક સંગીત, યુવા પ્રતિભા સંમેલન સાથે ભુજમાં ઉજવાશે ‘કચ્છી સાહિત્ય ઉત્સવ’

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે કચ્છ સાહિત્ય ઉત્સવ ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ખાતે યોજવામાં આવશે. આગામી 25 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજનારા આ પોતિકા ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.25 ડિસેમ્બર ગુરુવારના રાત્રે 8:00 કલાકે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા, પદ્મશ્રી નારાયણ જોશી, કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ સહિતના ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની રૂપરેખા તા.25 ડિસેમ્બર ગુરુવાર તા.26 ડિસેમ્બર શુક્રવાર તા.27 ડિસેમ્બર શનિવાર (દેવરાજ ગઢવી, વંદના ગઢવી) તા.28 ડિસેમ્બર રવિવાર તા.29 ડિસેમ્બર સોમવાર

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:38 am

છેતરપિંડી:બિટકોઇનમાં રોકાણના નામે વડોદરાના નિવૃત્ત ઈજનેર સાથે 90 લાખની ઠગાઈ

વડોદરામાં ક્રિપ્ટો કરન્સી રોકાણના નામે રૂ.90 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા નિવૃત્ત સિવિલ ઈજનેર નરેન્દ્રભાઈ અંબાલાલ પટેલ (ઉં.વ. 69) સાથે મિત્રતાની આડમાં પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી લાખો રૂપિયા હડપ કર્યાં હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં નરેન્દ્રભાઈ પટેલે પોતાના મિત્ર પિયુષભાઈ અરવિંદભાઈ પટેલના ઘરે, પાદરામાં મુલાકાત માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમની સાથે આવેલા તેમના જૂના મિત્ર શિરીષ આનંદ કારખાનીશ દ્વારા તેમની ઓળખાણ રોબર્ટ ઈશ્વરભાઈ પટેલીયા (રહે.પારસિક સોસાયટી, મકરપુરા, વડોદરા) સાથે કરાવી હતી. પાદરાની મુલાકાત જ આ સમગ્ર છેતરપિંડીની શરૂઆત બની હોવાનું ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પાદરામાં થયેલી મુલાકાત દરમિયાન રોબર્ટ પટેલીયાએ પોતે નિયમિત રીતે બિટકોઈનમાં રોકાણ કરતો હોવાનું જણાવી ટૂંકા સમયમાં મોટો નફો મળવાની લોભામણી વાતો કરી હતી. ત્યારબાદ તેણે પોતાના સાગરીત જોસેફભાઈ બાબરભાઈ સેમ્યુઅલ (રહે. બેંગલોર) સાથે ઓળખાણ કરાવી બંને ભાગીદારીમાં ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગ કરતા હોવાનું કહ્યું હતું. આરોપીઓની વાતમાં આવી ફરિયાદીએ રૂ. 8 લાખ રોબર્ટ પટેલીયાના ખાતામાં અને બાદમાં રૂ. 62 લાખ જોસેફ સેમ્યુઅલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ખોટા બહાના બતાવી વધુ રકમ મંગાવવામાં આવી હતી. જેના કારણે કુલ રૂ.90 લાખ આરોપીઓના ખાતામાં જમા થઈ ગયા હતા. જ્યારે રોકાણ અંગે કોઈ પુરાવો ન મળતાં નરેન્દ્ર પટેલને શંકા ગઈ હતી. રોબર્ટ પટેલીયાએ રૂ.300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ બાંહેધરી કરાર કરી રકમ પરત આપવાની ખાતરી આપી હતી. આજદિન સુધી એક પણ રૂપિયો પરત મળ્યો નથી. તેમણે આ અંગેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ બિટકોઈનમાં કોઈ રોકાણ કર્યું જ નથી અને સમગ્ર રકમ પોતાના અંગત ખર્ચ માટે વાપરી નાંખી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ વડોદરાની મહિલા સાથે બિટકોઇનના નામે ~1.26 કરોડની છેતરપિંડી કરાઇ હતીઆ અગાઉ ડિસેમ્બર મહિનામાં જ બિટકોઈનમાં ઊંચા નફાની લાલચ આપી વડોદરાની 50 વર્ષીય અનુપમા ઉપેન્દ્રભાઈ અમીન સાથે રૂ. 1.26 કરોડની છેતરપિંડી થયાનો મામલો બહાર આવ્યો હતો. સેમ્યુઅલ જોસેફ નામના વ્યક્તિએ મિત્રતા કેળવી મહિલાનો વિશ્વાસ જીતી રોકડ તથા આરટીએજીએસ/યુપીઆઈ મારફતે લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતાં. બાદમાં પૈસા પરત ન આપતા અનુપમા ઉપેન્દ્રભાઈ અમીને પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:34 am

વાહન ચોર ઝડપાયો:જુગારમાં રૂપિયા હારી જતા યુવક વાહન ચોર બન્યો, વાહન ગિરવી મૂકી રોકડા લેતો

જુગારમાં મોટી રકમ હારી જતા ખાનગી કંપનીમાં કામ કરતો યુવક વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. ચોરીના એક્ટિવા વેચવાની મુશ્કેલી પડતા ગીરવે મૂકી નાણાં લઈ ફરી પાછો જુગાર રમતા રીઢા વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને 9 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ સમયે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ એક્ટિવા ચાલકને અટકાવ્યો હતો અને કડક પૂછપરછ કરતા કુલ 6 એક્ટિવા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અગાઉ વાહન ચોરીમાં ઝડપાયેલા આરીફ સાબીર અલાઉદ્દીન દીવાન (રહે. સાઇનાથનગર, કરોડિયા રોડ)ની ધરપકડ કરી હતી. ચોરી થયેલી 6 એક્ટિવા કબજે કરી સંબંધીત પોલીસ મથકને જાણ કરી આરોપીને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક્ટિવા ચોરવી-વેચવી સહેલી હોવાથી ટાર્ગેટ કરતો હતોએક્ટિવા ચોરી કરવા પાછળનું કારણ જુગાર રમવાની લત હોવાથી અને જુગારમાં રૂપિયા હારી જતા દેવું થતાં જલદીથી રૂપિયા મેળવવા માટે છેલ્લા પાંચ મહિનામાં કુલ 6 જેટલી એક્ટિવા ચોરી કરી હતી. ત્યારબાદ વેચવા માટે અસલી કાગળો નહીં હોવાથી જુદા જુદા વ્યક્તિઓ પાસે 10થી 32 હજારમાં એક્ટિવા ગીરવે મૂકી રોકડા લઇ લેતો હતો અને આ રકમથી ફરી પાછો જુગાર રમતો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:30 am

બાળકને મળ્યું જીવનદાન:4 વર્ષના બાળકની શ્વાસ નળીમાં મગફળીનો દાણો ફસાઈ ગયો, બ્રાન્કોસ્કોપી કરી કઢાયો

સયાજી હોસ્પિટલમાં મધ્ય પ્રદેશના 4 વર્ષના બાળકની બ્રાન્કોસ્કોપી કરીને શ્વાસનળી માંથી મગફળીનો દાળો કાઢવામાં આવ્યો હતો. અગાઉ મધ્ય પ્રદેશમાં સારવાર કરાવી હોવા છતાં નિદાન નહોતું થયું જેના કારણે બાળકને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. બાળકની 25 મીનીટ બ્રાન્કોસ્કોપી ચાલી હતી. જેના દ્વારા તેને નવુ જીવનદાન આપવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના અલીરાજપુરમાં 4 વર્ષનો બાળક ઘરમાં મગફળી ખાઈ રહ્યો હતો. તીવ્ર ખાંસી આવતા માતા-પિતા તેને નજીકની ખાનગી હોસ્પિટલ લઈને ગયા હતા.જ્યા એક્સરેમાં કંઈ મળી આવ્યું નહોતું. જેના કારણે બાળકને ઘરે મોકલી દેવામાં આવ્યું હતું. અલીરાજપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં નિદાન થયું હતું કે, તેની શ્વાસ નળીમાં મગફળીનો દાળો ફસાઈ ગયો છે. જેથી તેની બ્રાન્કોસ્કોપી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 25 મીનીટની બ્રાન્કોસ્કોપી બાદ શ્વાસ નળીમાંથી મગફળીનો દાણો કાઢવામાં આવ્યો હતો. બાળકના ફેફસાનો એક તરફનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો હતોઆ પ્રકારની પરિસ્થિતિ જોખમી છે. સર્જરી દરમિયાન પણ થોડી વાર બાળકને માસ્ક દ્વારા ઓક્સિજન આપતા હતા. કારણ કે દાણો અને કેમેરો બન્ને શ્વાસ નળીમાં હતા. ફેફસામાં શ્વાસ ન જતા સંક્રમણના કારણે બાળકનું એક ફેફસું ખરાબ થઈ ચૂક્યું હતું, જે ધીરે-ધીરે બીજા ફેફસામાં ફેલાઈ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:28 am

ભાસ્કર ઈનસાઈડ:લૂંટના આરોપીની બ્રેક વગરની કાર લઈને જતા અમદાવાદ પોલીસના જવાને અકસ્માત સર્જ્યો

લૂંટના ગુનાના આરોપી અને વાહન ઝડપી પાડવા આવેલી અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોએ ઘેરીલીધી હતી.સ્થાનિક પોલીસે પહોંચી મામલો માંડ શાંત પાડ્યો હતો.આરોપીની યોગ્ય બ્રેક વગરની લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કાર લઈ જતી વખતે અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની કારે અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને સ્કોર્પિયોકારને અટકાવી પોલીસ કર્મીના ઓળખ પત્રની માંગ કરી હોબાળો મચાવ્યો હતો.બે સપ્તાહ અગાઉ અમદાવાદ જિલ્લામાં બગોદરા પાસે લૂંટની ઘટના બની હતી. આ ગુનાનો મુખ્ય આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હોવાની જાણકારી ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આરોપીનું લોકેશન ફતેગંજ નવાયાર્ડ રોડ ઉપર આવેલા એક શોરૂમ પાસે આવતું હતું.જ્યાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાનો કાર લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવિંગ કરી રહેલા પોલીસકર્મીએ રાત્રીના સમયે બે વાહનોને ટક્કર મારી હતી. બનાવની જાણ થતાં ફતેગંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાનો સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આખરે મામલો શાંત પડતા અમદાવાદ પોલીસ આરોપી અને સ્કોર્પિયો કાર લઈને રવાના થઈ હતી. લૂંટની ઘટનાને અંજામ આપી આરોપી સ્કોર્પિયો કારને રિપેર કરાવવા વડોદરા આવ્યો હતોલૂંટની ઘટનાને અંજામ આપી આરોપી પોલીસથી બચવા સ્કોર્પિયો કાર લઈ સતત જુદા જુદા સ્થળ ઉપર ફરતો રહેતો હતો.આરોપીએ સ્કોર્પિયો કાર લઈ વડોદરા રિપેરિંગ માટે આવ્યો હતો.અમદાવાદ પોલીસે લૂંટમાં વપરાયેલી કાર ને જપ્ત કરી એને અમદાવાદ લઈ જવા જવાને ચલાવતા જ બ્રેક યોગ્ય રીતે કામ નહીં કરતી હોવાથી અકસ્માત થતાં હોબાળો થયો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:27 am

મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી:108ના કર્મીએ ફોન પર તબીબનું માર્ગદર્શન મેળવીને મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી

કરજણના કુરાલીમાં થ્રી ઈડિયટ ફિલ્મ જેવો કિસ્સો બન્યો હતો. જેમાં 108ના ઈએમટીએ કોલ પર ફિઝિશિયનની મદદથી મહિલાને ડિલિવરી કરાવી હતી. જ્યારે બાળકના ગળામાં નાળ ફસાઈ હોવા છતાં 108ના સ્ટાફે નોર્મલ ડિલિવરી કરાવી હતી. જોકે જન્મ્યા બાદ બાળક રડતું નહોતું અને શ્વાસોચ્છ્વાસ પણ સામાન્ય નહોતા, જેથી 108ના સ્ટાફે પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યું હતું. કાસમપુરની સીમમાંથી 108ને કોલ આવ્યો હતો, જેમાં મહિલાને પ્રસવ પીડા ઊપડી હતી હોવાનું જણાવ્યું હતું. જોકે રસ્તો ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ નહોતી. જેથી 108ના ઈએમટી વિપુલભાઈ ચાલતા પહોંચ્યા હતા. તેમણે તપાસ કરી ત્યારે બાળકના પગ બહાર આવી ચૂક્યા હતા જ્યારે તેના ગળામાં નાળ વીંટળાઈ ગઈ હતી. તેઓએ હેડ ક્વાર્ટરમાં ફિઝિશિયનને કોલ કરી સ્થિતિ જણાવી હતી. જેથી ફોન પર તબીબના માર્ગદર્શનના આધારે વિપુલભાઈએ મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી હતી. બીજી તરફ જન્મ્યા બાદ બાળક રડતું નહોતું અને શ્વાસ ઓછા હતા. જેથી ન્યૂબોર્ન રિસેસિટેશન પ્રક્રિયા કરી શ્વાસોચ્છ્શ્વાસ સામાન્ય કર્યા હતા. મેં અત્યાર સુધી 5થી વધુ ડિલિવરી કરાવી છે, પરંતુ આ જટીલ હતીહું 2 વર્ષથી 108માં ફરજ બજાઉં છું. સ્થળ પર મેં 5થી વધારે ડિલિવરી કરાવી છે. જોકે આ કિસ્સો થોડો જટીલ હતો. બાળકના ગળામાં નાળ વીંટળાઈ ગઈ હતી અને તેને પગ પણ બહાર આવી ગયા હતા. જેથી મેં તબીબની મદદથી મહિલાની ડિલિવરી કરાવી હતી. > વિપુલભાઈ, ઈએમટી

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:25 am

ભાસ્કર નોલેજ:યુનિ.માં આઈકાર્ડ ન અપાતા છાત્રોનો મેઈન ઓફિેસને તાળાબંધીનો પ્રયાસ, 18ની અટક

એમએસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફિઝિકલ આઇકાર્ડ ન આપતાં તેના વિરોધમાં આજે મેઇન ઓફિસ ખાતે તાળાબંધીનો કાર્યક્રમ કરવા ગયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ફિઝિકલ આઇકાર્ડ આપવાનું બંધ કરાયું છે. જેના પગલે યુનિવર્સિટીની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે, વિદ્યાર્થીઓના સામાનની ચોરીઓ થાય છે, યુનિવર્સિટીની માલ-મિલકતને નુકસાન પહોંચાડીને જતાં રહે છે, જાહેર શાંતિ ભંગ થાય તેવા કિસ્સાઓ બને છે. આવી રજૂઆત કરી તાળાબંધી કરવાના ઇરાદે એનએસયુઆઇના વિદ્યાર્થી-કાર્યકરો મેઇન ઓફિસે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓએ સમય 3 વાગ્યાનો જાહેર કર્યો હતો. જેથી યુનિવર્સિટી સત્તાધીશોએ પોલીસને બોલાવી લીધી હતી. પોલીસનો કાફલો પોલીસની વેન અને ફોર વ્હીલર સાથે આવી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓને ટિંગાટોળી કરીને સીધા જ ડબામાં ચઢાવી દેવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને છાણી પોલીસ સ્ટેશને લઇ જઇ તેમની બે કલાક માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસે વિદ્યાર્થીઓ તાળાબંધી માટે જે સાંકળ અને તાળું લાવ્યા હતા તે પણ જમા લઇ લીધા હતા. એનએસયુઆઇના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું કે, અમારે વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીની સલામતીના મુદ્દે રજૂઆત કરવી હતી પણ રજૂઆત કરીએ તે અગાઉ જ અમારા 18 વિદ્યાર્થી-કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. 2019 પહેલા ફિઝિકલ આઇકાર્ડ અપાતા હતા, યુનિવર્સિટી આઈકાર્ડની ફી ઉઘરાવતી નથીએમએસ યુનિવર્સિટીની 1949માં સ્થાપના થઇ ત્યારથી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની સલામતીના મુદ્દે ક્યારેય ઢીલું મૂકાયું ન હતું. 2011માં ક્રેડિટ બેઝ્ડ ચોઇસ સિસ્ટમ ( સીબીસીએસ) દાખલ કરવામાં આવી ત્યારે 2011ના જુલાઇ મહિનામાં યુનિક આઇડેન્ટિટી સ્માર્ટ કાર્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતા. શરૂઆત ફેકલ્ટી ઓફ આર્ટસથી થઇ હતી. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતા. 2019માં અચાનક ફિઝિકલ આઇકાર્ડ આપવાના બંધ કરાયા હતા.ત્યારબાદ ફિઝિકલ આઇકાર્ડ માટેની ફી પણ યુનિવર્સિટીએ ઉધરાવવાની બંધ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:23 am

ડ્રાઈવ:સિગ્નલ તોડનારા લોકોની ખેર નથી,80 હજાર વાહનચાલકને ઇ-ચલણ અપાયાં

ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ યોજે છે. જે અંતર્ગત સિગ્નલ ભંગ કરવું, રોંગ સાઈડ વાહન ચલાવતા 80 હજાર ચાલકોને ટ્રાફિક શાખાએ ઈ-ચલણ આપ્યાં છે. જો દરેક વાહન ચાલકોને રૂા.500-500નો પણ દંડ કરાયો હોય તો 80 હજાર વાહન ચાલકોના દંડની રકમ અંદાજે 4 કરોડ પર પહોંચે છે. ઉપરાંત અનધિકૃત પેસેન્જરોને બેસાડી હેરાફેરી કરતા વાહનચાલકો વિરુદ્ધ પણ ટ્રાફિક શાખાએ કાર્યવાહી કરી છે. જેમાં 13 થી 22 ડિસેમ્બર સુધી 19 વાહનો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. નોંધનીય છે કે, રિક્ષા, ઈકો જેવાં પેસેન્જર વાહનોમાં ક્ષમતાથી વધુ પેસેન્જર બેસાડીને હેરાફેરી કરાતાં અકસ્માતો થય છે, જેમાં લોકોના જીવને જોખમ રહેલું હોય છે. આગામી સમયમાં પણ ટ્રાફિક વિભાગ વાહન માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:22 am

સિટી એન્કર:પોલીસને સ્વસ્થ રાખવા પહેલ, અઠવાડિયામાં ત્રણવાર એક કલાક યોગ કરાવાશે, પ્રથમ 125ની બેચ બનાવાઈ

પોલીસની વ્યસ્ત અને પડકારજનક ફરજ વચ્ચે કર્મચારીઓને સ્વસ્થ રાખવા ખાસ શહેર પોલીસ અધિકારી, ટ્રાફિક પોલીસ, પોલીસ કર્મચારી, ટ્રાફક બ્રિગેડ સહિતના સ્ટાફને યોગ કરાવવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 30થી વધુ બીએમઆઈ ધરાવતા 50 પોલીસ કર્મી સહિત 125 કર્મીની પ્રથમ બેચ બનાવાઈ છે. તમામને યોગા કરાવાશે, સાથે ટીમમાં ડાયેટિશિયન અને ફિઝિયોથેરાપિસ્ટ પણ રખાશે. આ માટે સંસ્કૃતિ ફાઉન્ડેશન 108 સૂર્ય નમસ્કાર ટીમ નિ:શુલ્ક સેવા આપશે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પોલીસ કર્મીઓને સ્વસ્થ રાખવા ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. તમામ કર્મીઓની રોગપ્રતિકારક શક્તિ સારી રહે, કામ કરવાની ક્ષમતા વધે તેમજ ખૂબ જ વ્યસ્ત નોકરીના સમયે તેઓ સ્વસ્થ રહે તેવો આશય છે. અઠવાડિયામાં 3 વખત 1 કલાક માટે કારેલીબાગ ટ્રાફિક ઓફિસ, જ્યારે જરૂર જણાય તો પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગાસન કરાવાશે. યોગની બેચ સતત દોઢ મહિનો ચાલશે, તે બેચ બાદ અન્ય બેચ બનાવીને યોગની તાલીમ આપવાનું આયોજન છે. પરેડ, સ્પોર્ટ્સ સહિતની પ્રવૃત્તિ પણ કરાવાય છેપોલીસ હેડ ક્વાર્ટર ખાતે મેદસ્વિતા ધરાવતા પોલીસ કર્મચારીઓને પીટી-પરેડ સહિતના પ્રવૃત્તિ કરાવાય છે. આ સાથે જ તેમને સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટી પણ કરાવાય છે. હેડ ક્વાર્ટર ખાતે ખાસ સોમવારે અને શુક્રવારે પરેડ સહિતનું આયોજન કરવામાં આવે છે. પોલીસ કર્મીને સ્વસ્થ રાખવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યાં છે. 30થી વધુ બીએમઆઇ ધરાવતા 50 કર્મચારી છેડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ પાસે તેમની ઊંચાઈ, વજન સહિતની વિગત મગાઈ રહી છે. હાલ લગભગ 50 કર્મચારીનો બીએમઆઈ (બોડી માસ ઈન્ડેક્સ) 30થી વધુ મળ્યો હતો. જ્યારે અન્ય કર્મચારીઓનો ડેટા મગાવાયો છે, તેમની તપાસ કરાશે. અન્ય કર્મીઓ પણ યોગ સત્રમાં ભાગ લઈ શકશેપોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય સારું રહે સાથે જ તેમની રોગપ્રતિકારક શક્તિ સારી રહે, વધુ સારી રીતે સેવા આપી શકે, તેમાં યોગ ખૂબ મદદરૂપ બનશે. અન્ય પોલીસ કર્મચારીઓ પણ તેમાં ભાગ લઈ શકશે. > તેજલ પટેલ,ડીસીપી ટ્રાફિક

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:18 am

રાત અને દિવસના તાપમાનમાં 19 ડિગ્રીનો તફાવત:વાદળો દૂર થતાં ઉત્તરના પવનોથી ઠંડીનો પારો 1.60 ઘટી 12.60 થયો

શહેરમાં વાદળો દૂર થતાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાથી પારો 1.6 ડિગ્રી ઘટી 12.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે દિવસનું તાપમાન 31.6 ડિગ્રી નોંધાયું હતું. આમ દિવસ અને રાતના તાપમાનમાં 19 ડિગ્રીનો તફાવત નોંધાયો હતો. બીજી તરફ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પારો 12-13 ડિગ્રી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હાલ તાપમાનમાં ખાસ બદલાવ નહીં આવે. નોંધનીય છે કે, ડિસેમ્બરના છેલ્લા 10 થી 12 દિવસ સુધી કડકડતી ઠંડી પડતી હોય છે. જોકે ચાલુ વર્ષે પારો 12 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે જળવાઈ રહ્યો હતો. જ્યારે બુધવારે પણ પારો 12 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે. જાન્યુઆરીમાં શહેરમાં કડકડતી ઠંડી પડી શકે છેડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોઈએ તેટલી અસર દેખાઈ રહી નથી, જેને પગલે ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી નોંધાશે. જ્યારે જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા વધુ હશે તો જ ઠંડી વધશે. જેથી જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડી શકે તેવી સંભાવના રહેલી છે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:17 am

બાદ્રાં ટર્મિનસ-ગંગાનગર, બાંદ્રા-બરૌની સહિતની ટ્રેનમાં લાગુ:આજથી વધુ 4 ટ્રેનોમાં તત્કાલ ટિકિટ માટે ઓટીપી ફરજિયાત

પશ્ચિમ રેલવે દ્વારા દેશમાં સૌ પ્રથમવાર તત્કાલ ટિકિટ માટે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. હવે 23મી ડિસેમ્બરથી વધુ 4 ટ્રેનોમાં તત્કાલ ટિકિટમાં ઓટીપીની સિસ્ટમ લાગુ પાડવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં બાંદ્રા ટર્મિનસથી રાજસ્થાનના ગંગાનગર સુધીની એક્સપ્રેસ ટ્રેન ઉપરાંત બાંદ્રા-બરૌની, અમદાવાદ-સહરસા અને ભૂજ-બાંદ્રા ટર્મિનસ ટ્રેનોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. જેથી હવે બુધવારથી આ ટ્રેનોમાં પણ તત્કાલ ટિકિટ મેળવવા માટેનો પ્રયાસ કરનારે પોતાની સાથે મોબાઇલ ફરજિયાતપણે રાખવો પડશે. ઉલ્લેખનીય છે કે, રેલવે ટિકિટ બુકિંગમાં પારદર્શિતા રાખવા અને વાસ્તવિક પેસેન્જરને જ તત્કાલ ટિકિટ મળે તે હેતુથી આ સુવિધા જાહેર કરવામાં આવી છે. રેલવેમાં નવી સિસ્ટમની ટ્રેનોની સંખ્યા 25 પર પહોંચી પશ્ચિમ રેલવે દ્વારા 1 ડિસેમ્બરથી તત્કાલ ટિકિટોમાં નવી ઓટીપીની પ્રણાલી દાખલ કરાઈ છે. અત્યાર સુધી 21 ટ્રેનોમાં આ સિસ્ટમ લાગુ પડાઈ છે. જેને પગલે તત્કાલ ટિકિટ માટે અનધિકૃત રીતે કાર્યરત તત્ત્વો પર અંકુશ મૂકાયો છે. બીજી તરફ 24મીથી 4 નવી ટ્રેનોમાં સિસ્ટમ લાગુ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:16 am

તૈયારી:ભારત-ન્યૂઝીલેન્ડ મેચ : કોટંબીમાં 500થી વધુ સિક્યુરિટી ગાર્ડ,બાઉન્સર તૈનાત રહેશે

કોટંબી સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીએ રમાનાર ભારત-ન્યૂઝીલેન્ડની મેચને લઈ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 43 એકરના સ્ટેડિયમમાં મહિલા-પુરુષ સિક્યુરિટી ગાર્ડ, બાઉન્સર સહિત 500થી વધુ સ્ટાફ ખડેપગે રહેશે અને પોલીસ સાથે સ્ટેડિયમની સિક્યુરિટીનું ધ્યાન રાખશે. વીઆઈપીને ખાસ એસ્કોર્ટ વાહનમાં લઈ જવા કર્મીઓ, સુપરવાઇઝર, બાઉન્સલ, મહિલા-પુરુષ સિક્યુરિટી ગાર્ડ સહિતની મંગળવારે સ્ટેડિયમ પર મિટિંગ રાખવામાં આવી હતી. કયા ગેટ પરથી કોણ આવશે, કોને ક્યાંથી ક્યાં લઈ જવા, ક્યાં કેટલી સિક્યુરિટી રાખવી સહિતના મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જિલ્લા પોલીસ ફરી ગુરુવારે સ્ટેડિયમ વિઝિટ કરીને આગામી પ્લાનિંગ કરશે તેમ જાણવા મળ્યું હતું. મેચની ટિકિટની બોગસ લિંકથી દૂર રહેવું જોઈએબીસીએના ખજાનચી શિતલ મહેતાએ કહ્યું કે, વર્ષો બાદ વડોદરામાં મેન્સ ઈન્ટરનેશનલ મેચ રમાશે. ક્રિકેટ રસિકોમાં ખૂબ ઉત્સાહ છે. કેટલાક લોકો ઉત્સાહનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને ખોટી વેબસાઇટ કે લિંક બનાવી ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટ વેચવાના બહાને છેતરવાનો પ્રયત્ન કરે છે. અપીલ છે કે, જ્યાં સુધી બીસીએ સત્તાવાર જાહેર કરે નહીં, ત્યાંથી બોગસ લિંક સહિતથી દૂર રહેવું જોઈએ. બીસીએ દ્વારા મેચની ટિકિટ માટે સત્તાવાર ઓનલાઇન પ્લેટફોર્મ સહિતની જાહેરાત કરાશે. સ્ટેડિયમની ટિકિટ સમજી સ્ક્રીનિંગની ટિકિટ લીધા બાદ લોકો સલવાયાભારત-ન્યૂઝીલેન્ડની પહેલી ઓડીઆઈ મેચને લઈ લોકો ટિકિટ ખરીદવા ઉત્સુક બન્યા છે. ત્યારે ઘણી જગ્યાએ મેચના સ્ક્રીનિંગ માટે હોલ લોકો બુક કરી રહ્યા છે. રાજ્ય બહાર પણ હોલ બુક થઈ રહ્યા છે ત્યારે તે સ્ક્રીનિંગની ટિકિટ ખરીદીમાં કેટલાક લોકો સલવાયા હોવાનું જાણવા મળ્યું હતું. યુવકે સ્ક્રીનિંગ પાછળ રૂા.5 હજાર આપી દીધા હતા. ત્યારબાદ સ્ટેડિયમમાં મેચ જોવાનું નહીં તે સ્ક્રિનિંગ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ યુવકના રૂપિયા પણ રિફંડ થયા નહોતા. હજી સુધી બીસીએ દ્વારા ઓફિશિયલ ટિકિટ બુક કરવા જાહેરાત કરાઈ નથી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:15 am

અભિપ્રાય:સફાઈ અંગે લોકોને ફોન કરી પૂછાશે,તમારે ત્યાં સફાઈ કરી છે, ડોર ટુ ડોરનાં વાહનો આવે છે?

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2025ની ટુલ કિટ જાહેર કરાઈ છે, જે અંતર્ગત પાલિકાએ કામગીરી શરૂ કરી છે. આગામી દિવસોમાં સ્વચ્છતા અંગે ફીડબેક લેવા પાલિકા લોકોને ફોન કરી અભિપ્રાય મેળવશે. જેમાં તમારા વિસ્તારમાં સફાઈ થાય છે કે કેમ, ડોર ટુ ડોરનું વાહન નિયમિત આવે છે કે નહીં તે સહિતના અભિપ્રાય મેળવશે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી રિવ્યૂ બેઠકમાં સ્વચ્છ સર્વેક્ષણ-2025ની જાહેર કરાયેલી ટુલ કિટ અંગે ચર્ચા કરાઈ હતી. સ્વચ્છતા પર ભાર આપવા મ્યુ. કમિશનરે દરેક વોર્ડમાં સ્વચ્છતા સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું છે. જે વોર્ડમાં સફાઈ સારી હશે તેને એવોર્ડ અપાશે. બીજી તરફ અગાઉના વર્ષ કરતાં આ વર્ષે સિટીઝન ફીડબેક પર વધારે ભાર મુકાયો છે. જેમાં પાલિકા તેના કોલ સેન્ટર પરથી ફોન કરી લોકોના વિસ્તારમાં સફાઈ થાય છે કે કેમ, ડોર ટુ ડોરનાં વાહન નિયમિત આવે છે કે નહીં, સુપરવાઇઝર આવે છે કે કેમ તેવા સવાલો દ્વારા અભિપ્રાય લેવાશે. તદુપરાંત ગલીઓમાં સફાઈ થાય તેના પર વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપી છે. મ્યુ. કમિશનરે નજરે જોઈ શકાય તેવી સફાઈ કરવા ભાર મૂક્યો હતો. બેઠક પૂર્વે મ્યુ. કમિશનરે સૂર્ય નારાયણ મંદિરની મુલાકાત લીધીમ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ રિવ્યૂ બેઠક પૂર્વે જીપીઓ સામે ઐતિહાસિક સૂર્ય નારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. રિવ્યૂ બેઠકમાં તેઓએ માંડવીની ચિંતા કરતાં કહ્યું કે, બે વખત ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે. આગામી દિવસોમાં રિસ્ટોરેશનનું કામ શરૂ કરાશે. શાળાઓનાં કેમ્પસ પ્લાસ્ટિક મુક્ત કરવા પહેલ કરાશે, રિયૂઝ વોટર પર ભાર મૂકાશેસ્વચ્છ સર્વેક્ષણ-2025ની જાહેર કરાયેલી ટુલ કિટ મુજબ પાલિકા વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે. શાળાઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે તે માટે જનજાગૃતિના પ્રયાસો હાથ કરશે. તદુપરાંત જૂની સોસાયટીઓની આસપાસ થતી ગંદકીની સફાઈ, વોલ પેઇન્ટિંગ જેવા કાર્યક્રમો કરશે. ગંદકીના ઓપન સ્પોટ પર સ્કલ્પચર મૂકી બ્યૂટિફિકેશન કરાશે. આ સિવાય વોટર રિયૂઝ પોલિસી પર ભાર મૂકવા સાથે તળાવની સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:14 am

ભાસ્કર એક્સક્લુસિવ:ક્રિકેટર રાધા યાદવે મેદાન માટે 10 હજાર ચોમી જગ્યા માગી, વહીવટી તંત્રની તૈયારી, નેતાગીરી અવઢવમાં

મહિલા વર્લ્ડ કપ જીતીને ભારતને ગૌરવ અપાવનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવે પાલિકા પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા જગ્યા માગી છે. જોકે મ્યુ. કમિશનર સાથેની મુલાકાતમાં તેણે કરેલી રજૂઆતના આધારે હરણી-સમા લિંક રોડ પર 10 હજાર ચો. મીટર જગ્યા આપવા પ્રક્રિયા શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ મહિલા ટીમનાં ખેલાડી અને વડોદરાની રહેવાસી રાધા યાદવે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી દેશ સહિત વડોદરાને ગૌરવ અપાવ્યું હતું. રાધા યાદવે મ્યુ. કમિશનરની મુલાકાતમાં ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા જગ્યા માગી હતી. આધારભૂત સૂત્રો મુજબ રાધા યાદવે પાલિકામાં અરજી કરી છે. જેને ધ્યાનમાં રાખી હરણી-સમા લિંક રોડ પર ટીપી 1 ફાઇનલ પ્લોટ 156, 157ના કોમર્શિયલ હેતુના 16,523 ચો. મીટરના પ્લોટ પૈકી 10 હજાર ચોરસ મીટર જગ્યા 10 વર્ષ માટે ફાળવવાની તૈયારી શરૂ કરી છે. રાધા યાદવે આ જગ્યાએ રૂા.10 થી 15 લાખના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા માટેનું આયોજન કર્યું છે. વાર્ષિક રૂા.2 લાખ ટોકન ભાડું આપવાની પણ તૈયારીરાધા યાદવે પાલિકામાં આપેલી અરજી મુજબ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા માટે 10 હજાર ચોરસ મીટર જગ્યાની માગ કરી છે. જેમાં તેણે વાર્ષિક 2 લાખ ટોકન ભાડું ચૂકવવાની તૈયારી દર્શાવી છે. આ પ્લોટ 10 વર્ષ માટે હંગામી ધોરણે જમીન ફાળવવાનું પાલિકા વિચારી રહી છે. આ સિવાય ભાડા અને લાગતના અલગ-અલગ વિકલ્પો અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલી તેની મંજૂરી મેળવાશે. હા, અમે પ્લોટની માગણી કરી છેઅમે ક્રિકેટ ગ્રાઉન્ડ માટે પાલિકા પાસે જગ્યા માગી છે. મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. > મિલિંદ વારાવડેકર, રાધા યાદવના કોચ પ્લોટ આપવા પ્રક્રિયા કરી રહ્યા છીએરાધા યાદવ તરફથી અમને અરજી મળેલી છે અને ગુજરાત સરકારની પણ સૂચના છે. જેથી અમે પ્લોટ આપવા માટેની પ્રકિયા કરી રહ્યા છીએ. > અરુણ મહેશ બાબુ, મ્યુનિ. કમિશનર નિયમોનુસાર નિર્ણય લઈશુંરાધા યાદવને પ્લોટ આપવા મુદ્દે કોઈ દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી નથી. દરખાસ્ત આવશે તો ચર્ચા કરી નિયમોનુસાર નિર્ણય લઈશું. > ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ નેતાઓ નહીં સુધરે! ક્રિકેટ મેદાન વિકસાવવા માગતા જ રાજકીય ખેંચતાણ શરુમહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ વડોદરા આવેલી ક્રિકેટર રાધા યાદવે મ્યુ. કમિશનરને મળી પ્લોટની માગ કરી હતી. વહીવટી તંત્ર પાસે પ્લોટની માગણી કરતાં જ રાજકીય નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. રાધા યાદવને પ્લોટ આપવો કે કેમ તે અંગે પણ નેતાઓએ રાજકીય સોગઠાં બેસાડવાનું શરૂ કર્યું છે. રાધા યાદવ કયા નેતાને મળી અને કોને નથી મળી, પ્લોટ આપવા અંગેની રજૂઆત કોના ઈશારે કરાઈ રહી છે તે અંગે પણ ગંદું રાજકારણ શરૂ થયું છે. એક તરફ શહેરના વિકાસને નેતાઓની જૂથબંધીનું ગ્રહણ લાગ્યું છે. જેનાથી પ્રદેશ મોવડી પણ નારાજ છે, છતાં તેને અવગણીને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા એકબીજા સામે તલવારો તાણી છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ પ્લોટ આપવા માટે કટિબદ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:13 am

ઉગ્ર વિરોધ:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે બજરંગ દળ જવાહર ચોક ખાતે ઉગ્ર વિરોધ

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલી હિંસા, હત્યા અને અત્યાચારોના વિરોધમાં સુરેન્દ્રનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો આ ગંભીર મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે. બાંગ્લાદેશમાં વધતી કટ્ટર માનસીકતા વાળા જીહાદી લોકો દ્વારા જાહેરમાં મારમારી યુવાનને જીવતો સળગાવવાનો બનાવ બનતા ઠેરઠેર વિરોધના સુર ઉઠ્યા છે. ત્યારે તેના પડઘા સુરેન્દ્રનગરમાં પણ પડ્યા છે. સોમવારના રોજ વિશ્વ હિન્દુપરીષદ અને બજરંગદળ દ્વારા જવાહર ચોક ખાતે વર બજરંગ દળના સંયોજક કાનાભાઈ રબારી, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રમેશભાઈ ભુતડા અને મંત્રી પ્રકાશભાઈ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો દ્વારા વિરોધ કરાયો હતો. બજરંગ દળના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં કટ્ટરપંથી માનસિકતા ધરાવતી સરકાર બન્યા બાદ હિન્દુઓની સુરક્ષા જોખમાઈ છે. ત્યાંની સરકાર દોષિતો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પણ આ બાબતે મૌન સેવી રહ્યું હોવાથી ભારત સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે આંતરાષ્ટ્રીય મંચ સુધી વેદના પહોંચાડે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરાવેની માંગ કરી હતી. { બજરંગ દળ દ્વારા જવાહર ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 5:06 am